ભરૂચ નગર સેવાસદનની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો. ગત વર્ષે નગર સેવાસદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જોકે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કર-વેરા લાગુ કર્યા નથી. બજેટમાં શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉનહોલનું નિર્માણ, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે. આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સમસાદઅલી સૈયદ અને તેમના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે બજેટમાં 20-20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ, ડોર-ટુ-ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બેઠક દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને ટીકા-ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
સુરતના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રીમ તૈયારીઓમાં બાથટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા સુરત મનપાના ખાસ પગલાંઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે, માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે. આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે, જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકાયાસ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે. અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે. દર્દીને લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર વધી જાય છેસ્મીમેરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ગરમીમાં જયારે કોઈ દર્દી હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જાય છે, સામાન્ય કરતા હાઈગ્રેડ તાવનો પારો 105- 106 સુધી પહોચી જાય, જેને પગલે બેભાન થઈ શકે અને કઈ પણ બબડયા કરે છે, આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જયારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે, ત્યારે તેની સારવાર માટે બાથટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા આઈસ બેડની વ્યવસ્થા કરાઈસ્મીમેરના RMOએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકવાળા દર્દીઓને એમના જે લક્ષણ છે કે અત્યંત ગરમી લાગવી, પરસેવો થવો, માથું દુખવું, ચક્કર આવવા, ઉલ્ટી-ઉપકા થવા, ગળું સુકાવું. જેનાથી બચવા માટે આપણે ત્યાં આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું ટેમ્પરેચર નોર્મલ રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગની વ્યવસ્થાજ્યારે પણ આવા દર્દીઓ આવે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં એટલે કે બોડીમાં પાણી મેન્ટેન રહે એના માટે આઈવી ફ્લુઈડ્સ (IV Fluids), ઓઆરએસ (ORS), લિક્વિડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પણ પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે દર્દીને આની તકલીફ ના પડે. અને આપણે આના માટે આપણા ઇમરજન્સી વિભાગમાં પણ એ બધી વ્યવસ્થા, આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવાદરેક વ્યક્તિએ 'લૂ' થી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહુ જ જરૂરી હોય ત્યારે જ તડકામાં નીકળવું. નીકળો ત્યારે માથા પર રૂમાલ, ઠંડુ કપડું અથવા છત્રી કે કેપ (Cap) પહેરીને નીકળવું. અને થોડા થોડા અંતરે નારિયેળ પાણી, પાણી, લીંબુ શરબત, છાશ વગેરે વધારે લિક્વિડ્સ લેવા જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે. દર્દીને સમસયર તાત્કાલિક સારવાર મળી રહેબાથટબની અંદર બરફવાળું ઠંડુ પાણી હોય છે, ટબની અંદર દર્દીને સુવડાવવામાં આવે છે, જેથી ઠંડા પાણીને લીધે બોડી ટેમ્પરેચર સામાન્ય થવા લાગે છે અને નોર્મલ થાય, આ રીતે દર્દીનો જીવનનો ખતરો ટળી જાય અને એક વિશેષ પ્રકારની સારવારથી તેનો જીવ બચાવી શકાય, તેમજ સમસયર તાત્કાલિક સારવાર મળી રહે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને હીટસ્ટ્રોકની સંભાવનાઓને જોઈને આ વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના સોની સમાજના અગ્રણી વૈભવભાઈ ચોકસીની અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની સર્વાનુમતે પસંદગી થતા સમાજમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ વરણી અખિલ ભારતીય સુવર્ણકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદભાઈ રાણીંગા, સુરેન્દ્રનગરના કેતનભાઈ રોજાસરા સહિત દેશભરના સુવર્ણકાર આગેવાનો અને વિવિધ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વૈભવભાઈ ચોકસીની આ વરણીથી સુરેન્દ્રનગર સોની સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.
જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થિની કોપી કરતાં ઝડપાઈ છે. આ ચાલુ પરીક્ષાનો બીજો કોપી કેસ નોંધાયો છે. આ ઘટના જામનગરની પી.વી. મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177માં બની હતી. ધોરણ 10ની ગુજરાતી (દ્વિતીય ભાષા) કોડ નંબર 13ની પરીક્ષા ચાલી રહી હતી. એક વિદ્યાર્થિની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને પરીક્ષા આપી રહી હતી. પરીક્ષા ખંડના સુપરવાઈઝર દ્વારા આ વિદ્યાર્થિનીને કાપલી સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેની સામે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થિનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન આ બીજો કોપી કેસ છે. આ પહેલા લાલપુરના એક પરીક્ષા કેન્દ્રમાંથી પણ એક વિદ્યાર્થિની ચોરી કરતાં પકડાઈ હતી.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગેસ માટે લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર ભગતસિંહ ચોકથી ન્યાયમંદિર સુધી રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરાવ્યું?આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર એમ કહે છે કે દેશમાં ગેસની પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. જો ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં હોય તો ગેસના સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ કેમ બંધ કરવું પડ્યું? લોકો ધોમધખતા તાપમાં એજન્સીઓની બહાર કતાર લગાવી રહ્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસના બોટલના ભાવ વધાર્યાકાર્યકરોએ ગેસના સિલિન્ડરોના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ગેસના ભાવ શું કામ વધારવામાં આવ્યા, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની અસર હવે લોકોના ખિસ્સા સુધી થવા માંડી છે. લોકોને જ્યાં મુશ્કેલી પડશે આમ આદમી પાર્ટી તેનો વિરોધ નોંધાવશે અને લોકોની પડખે ઊભું રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. ત્રણ દિવસથી લોકોની લાઇનોવડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ એજન્સીઓ બહાર ગેસના બોટલ મેળવવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે. કેટલાય લોકો ધોમધખતા તાપમાં શેકાઈ રહ્યા છે. જો કે હજુ પણ વડોદરા વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરાયું હતું. યોજના અંતર્ગત, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ આપવામાં આવી. જ્યારે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું. આ સાધનો દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા પૂરી પાડશે અને તેમની અન્ય પરની નિર્ભરતા ઘટાડશે. લાભાર્થીઓએ આ સહાય મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સાધનો મળવાથી તેઓ હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે અને અન્ય પરની નિર્ભરતા ઘટશે. લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો આભાર માન્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટાફે લાભાર્થીઓને સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાત સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં ગતિશીલતા લાવશે અને તેમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ (ICDS) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આંગણવાડીઓની વર્તમાન સ્થિતિ અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને ભવિષ્યના આયોજનોની સમીક્ષા થઈ. કલેક્ટર નિરગુડેએ આંગણવાડીના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આંગણવાડીનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની મળવી જ જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કામગીરીમાં કોઈ પ્રશ્નો નડતા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ સુવિધામાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બાળકોને સમયસર પૌષ્ટિક દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશો અપાયા હતા. કલેક્ટરે બાળકોની હાજરી વધારવા માટે આંગણવાડીઓમાં વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે વધુમાં વધુ બાળકો ત્યાં આવવા માટે પ્રેરાય.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિત તમામ સીડીપીઓ (CDPO) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ બાળકો સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી. આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વિડીયો પણ વાયરલ થયા છે. ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે 'Final Submit' કરવાનું રહી ગયું હતું. યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને sc/st/obc ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મ માં સામાન્ય ભૂલ ના કારણે 146થી વધારે ઉમેદવારો ના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આજે ગુજરાત NSUI દ્વારા કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માં આવી હતી. જ્યારે NSUI ના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા. NSUIનો આરોપ છે કે તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે. યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કુલપતિ ડરના માર્યા ચેમ્બરના એક ખૂણામાં છુપાઈ ગયેલા જોવા મળે છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં કુલપતિની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આવું ઘર્ષણ થયું હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે. હાલ NSUI એ સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષામાં બાકી રહી ગયેલા 146 ઉમેદવારોને બેસવા દેવામાં નહીં આવે અને રોસ્ટર મુજબ ભરતીની નવી જાહેરાત નહીં અપાય, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.
Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને 'પૅનિક બુકિંગ' ન કરવા માટે અપીલ કરી છે. બુકિંગમાં અચાનક ઉછાળો સુજાતા શર્માએ જણાવ્યું કે, 'દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.
ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત
India Iran Trade: વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે વચ્ચે ભારતના વિદેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી.
પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો. પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે. રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરી (RCM) માં પડકારવામાં આવ્યો હતો. તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારા સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે જૂની અદાવતના કારણે ખારેશ્વર મહાદેવ મંદિર પાસે બે ભાઈઓ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક ભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયા પરા શિવનગરમાં ભાંગના કારખાના પાસે રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર (ઉ.વ. 27) એ બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તથા તેમનો ભાઈ જીતેશ બપોરના સમયે સ્કૂટર પર વૈશાલી સિનેમાથી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ ઘરની નજીક ખારેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા ત્યાં બેઠેલા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે સ્કૂટર આડે ઉભા રહી બંને ભાઈઓને અટકાવ્યા હતા, અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશ ઉફે બકો તથા જીતેશ ઉર્ફે કાળીયાએ અપશબ્દો બોલી ને થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો હતો, તે અમારા વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી તેવું કહી તમામ શખસોએ ઉશ્કેરાઈ જઈ બંને ભાઈઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં શાંતિભાઈને કાન પર છરીનો ઘા લાગ્યો હતો અને બીજો ઘા ડાબા હાથ પાસે વાગ્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી બચાવ્યાઆ દરમિયાન શાંતિભાઈનો ભાઈ જીતેશ વચ્ચે પડતા અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે તેના પર પણ હુમલો કર્યો હતો. જીતેશ ઉર્ફે કાળીયાએ માથા અને કાનના ભાગે ધોકાના ઘા મારતા શાંતિભાઈ પડી ગયા હતા, જ્યારે સમીર ઉર્ફે સંતોષ તેમજ આનંદ નામના ઈસમોએ પગના ભાગે તેમજ હાથ પર ધોકાના ઘા માર્યા હતા. સાથે જ હુમલાખોરોએ તેમના ભાઈ જીતેશને પણ આડેધડ માર માર્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શાંતિભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે જીતેશને પણ ઈજા થતા ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ થતા તેના આધારે ગંગાજળિયા પોલીસે બે દિવસ પૂર્વે આકાશ ઉર્ફે બકો, જીતેશ ઉર્ફે કાળીયો, સમીર ઉર્ફે સંતોષ અને આનંદ સામે BNS કલમ 109(1), 115(2), 117(2), 118(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીજે બનાવના પગલે ગંગાજળિયા પોલીસે બન્ને ભાઈઓ પર હુમલો કરનાર તમામ શખસો આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઇ વાઘેલા, આનંદ તનસુખભાઈ રાઠોડ તમામ ભાવનગર રહેવાસીઓને ગણતરીના દિવસમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ NSUI દ્વારા આવી છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વિવિધ 36 પદો પર 130 જેટલી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં ત્યારથી જ અનેક વિવાદ ચાલી રહ્યા છે. એક-એક ઉમેદવારોને માન્ય ગણવામાં આવતા NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મળતિયાઓને સેટ કરવા જ ભરતી થઈ રહી છે. લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ કુલપતિએ સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ, જે બાદ 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. તે બાદ પણ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત 40 વર્ષની વયમર્યાદા બદલીને 45 વર્ષની કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરીજેથી NSUI દ્વારા ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રદ કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, NSUI દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર રજા આપી દેવામાં આવી હતી. તેમજ તમામ ગેટ બંધ કરી પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, NSUIએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે. પોલીસે 5 લોકો યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું ભરતી પ્રક્રિયા રદ કરો અને કુલપતિ રાજીનામું આપે એવા નારા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર જ પોલીસે તેમને વિરોધ કરતા અટકાવી દીધા હતા. જ્યાં કેમ્પસમાં જવા માટે NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કુલપતિ ઓફિસમાં હોવા છતાં જવા દેવામાં ન આવતા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે 5 લોકો ગુજરાત યુનિવર્સિટીના ટાવરમાં લઈ જઈ બધું બંધ હોવાનું બતાવ્યું હતું. પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરીરજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. NSUIના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, NSUIના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, બાદ પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કેટલાક NSUI ના કાર્યકર્તાઓને બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપાડી લઈને અટકાયત કરીને લઈ ગયા હતા. સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલાયાNSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ફરીથી પ્રક્રિયા જાહેર કરી તેમાં ખાસ લોકોને સેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી રીતે થઈ રહી છે ત્યારે કુલપતિ જૂઠું બોલી રહ્યા હતા પરંતુ, કુલપતિ સવારે જૂઠું બોલે છે અને સાંજે સાચી હકીકત બહાર આવે છે. જેમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી રદ કરવામાં આવે છે. હજુ પણ અમે આક્ષેપ કરીએ છીએ કે, સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતાવધુમાં ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવી જોઈએ અને નવેસરથી પડતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તેમની વાત સાંભળવામાં આવે તેવી પણ માંગણી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કુલપતિનું પેપર ફૂટી ગયું છે. તેમને પસંદગી માટે જે નામ નક્કી કર્યા છે તે યાદી પણ અમારી પાસે આવી ગઈ છે. તેમનો પાપનો ઘડો બહાર ન આવે તે માટે તમામ લોકોને જાહેર રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસને ઉતારી ગુજરાત યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જો કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળી અને અમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપે એવી અમારી માંગ છે.
અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી ચન્દ્રોદય પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા ત્રણ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકો પરિવાર સાથે બહાર ગયેલા હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરી ત્રણ મકાનમાંથી 2 લાખથી વધુ રોકડ રકમ ચોરી કરી હતી. સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા પૈસા ગાયબ હતાંઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, અકવાડા ચન્દ્રોદય પાર્કમાં રહેતા મયુર ગનુભાઈ હળવદીયાએ ફરિયાદ નોંધાવી છે કે 9 માર્ચના રોજ કુંભારવાડામાં રહેતા તેમના સગાના દીકરીની સગાઈના પ્રસંગે તેઓ માતા-પિતા સાથે અકવાડા સ્થિત પોતાના મકાનને તાળું મારી કુંભારવાડા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન 11 માર્ચની વહેલી સવારે પડોશીએ ફોન કરીને જાણ કરી હતી, કે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું તૂટેલું છે અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. ત્યારબાદ મયુરભાઈ પરિવાર સાથે તાત્કાલિક અકવાડા ચન્દ્રોદય પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં રસોડામાં સ્ટીલના ડબ્બામાં રાખેલા આશરે રૂ.30,000 રોકડ રૂપિયા ચોરાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે ઘરમાં પણ ચોરી થયાનું સામે આવ્યુંઆ દરમિયાન સોસાયટીના ગેટ નં.3 પ્લોટ નં.44 માં રહેતા મનસુખમકવાણાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ તાળું તોડી ચોરી કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સામાન ખરીદવા માટે મંદિરના ખાનામાં રાખેલા રૂ.1,25,000 લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ગેટ નં.2 પ્લોટ નં.465 માં રહેતા અંકિત વાઘેલાના ઘરના દરવાજાનો મીજાગરો તોડી ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરાયો હતો અને જેમની ડાયાલિસીસની સારવાર માટે સેટીમાં રાખેલા રૂ.70,000 પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આમ સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNS કલમ 331(3), 331(4) અને 305 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાત માટે કડકાઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાએ વેરા વસૂલાત માટે કચેરીઓનો સંપર્ક કરવાની શરૂઆત કરી છે અને માર્ચ અંત સુધીમાં તમામ વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી છે. 40 કરોડમાંથી 20 કરોડ વસૂલ્યાવડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓના 40 કરોડનો વેરો બાકી હતો. જેમાં પાલિકાએ વસૂલાત શરૂ કરતા અંદાજે 20 કરોડથી વધુનો વેરો વસૂલી દીધો છે અને હવે 16 કચેરીઓનો 18,81,74,389 વેરો બાકી પડે છે. જે વસૂલાત માટે પાલિકા કચેરી ખાતેથી વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સિટી પોલીસ મથકનો સૌથી વધુ વેરો બાકીવિવિધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા વેરો બાકી પડે છે. જેમાં સૌથી વધુ વેરો વડોદરા શહેર પોલીસ મથકનો બાકી છે. વડોદરા સિટી પોલીસ સ્ટેશનનો રૂ. 5,39,70,984 નો વેરો બાકી છે. જો કે આ વેરો સરભર કરવા માટેની અરજી આપવામાં આવી છે. પાલિકાએ પણ સિટી પોલીસ સ્ટેશનને કોઈક નાણાં ચૂકવવાના છે જેની સામે આ વેરો સરભર કરવા અરજી આપવામાં આવી છે. કચેરીઓ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ભરશેરેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરકે કચેરીઓમાં માર્ચ અંત સુધીમાં ગ્રાન્ટ આવે છે, ત્યાર બાદ તેઓ આ વેરો ભરે છે, ત્યારે મોટાભાગની કચેરીઓ ગ્રાન્ટ આવતાની સાથે જ વેરો ભરી દેશે. હાલ અમારી કચેરી ખાતેથી તેઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેરો નહીં ભરવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથીપાલિકા કચેરી દ્વારા વિવિધ કચેરીઓનો સંપર્ક કરી વેરો ભરવામાં કેમ નથી આવતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે ફંડ નથી તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના રૂ. 23,59,656 મિલકત વેરો બાકી છે. કઈ કચેરીનો કેટલો વેરો બાકી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસતા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તેમજ સામાન્ય ગ્રાહકનો વેશ ધારણ કર્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢ્યો હતો. આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ સામે વડોદરા શહેરનાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતાં આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી મહારાષ્ટ્રમાં હોવાની પુષ્ટિ થઈ હતીવડોદરા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની પુષ્ટિ થઈ હતી. આરોપીના મોઢા પર મસો હતો અને ગુટખા ખાવાનો આદી હતોમુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તે ગુટખા ખાવાની આદત ધરાવતો હતો અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસેે તપાસ શરૂ કરી હતી. ‘ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ સુધી રેકી કરી હતી’વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પો ડ્રાઇવર, ફૂડ ડિલિવરી બોય અને ગ્રાહકનો વેશ ધારણ કરીને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ (ઉંમર.55 વર્ષ, હાલનું રહેઠાણ: એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર, મૂળ રહેઠાણ: સલીમપુર ગામ, તાલુકો-ખાગા, થાના-ખાગા, જિલ્લો ફતેહપુર, ઉત્તરપ્રદેશ) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેવી રીતે પાર પાડ્યું ઓપરેશનવડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો કોઈ લેટેસ્ટ ફોટો નહોતો. માત્ર 20 વર્ષ જૂની વિગતો હતી. વર્ણનમાં એટલી ખબર હતી કે એના ગાલ પર મસો છે અને એને ગુટખા ખાવાની આદત છે. પોલીસે 3 દિવસ સુધી ત્યાં વોચ ગોઠવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી હતી. એક ટીમને ફૂડ ડિલિવરી બોય બનાવીને મોકલ્યો હતો, જેને એડ્રેસ પૂછવાના બહાને બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એક પોલીસ કર્મીને ને ટેમ્પો ડ્રાઇવર બનાવીને GIDC વિસ્તારમાં મોકલ્યો હતો અને એક પોલીસકર્મી ગ્રાહક બનીને ગયો હતો. તેઓ હિન્દી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા જેથી કોઈને શંકા ન જાય. 3 દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચ્યોવિરાર ઈસ્ટમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસ કર્મીએ ગ્રાહક બનીને એને વાતચીતમાં પરોવ્યો અને પૂછ્યું કે તમે ગુજરાતમાં રહેતા હતા? પછી નામ પૂછતા એણે સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્રણ દિવસમાં 100 કિમી ફરીને આરોપીને દબોચી લીધો હતો.
અરવલ્લી પોલીસે શામળાજી ખાતે ₹9.15 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ મોડાસા ડિવિઝનના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો. નિયમો અનુસાર આ દારૂ પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો. શામળાજી સ્થિત જીએસટી મેદાનમાં દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 304 પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલો આ દારૂનો જથ્થો મેદાનમાં ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો થાય છે. પોલીસે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવીને આ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન 7 પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના રસ્તાઓને પહોળા અને સુવિધાસભર બનાવવા માટે રૂ. 1,185 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 383 કિમી રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશેઆ મંજૂરી હેઠળ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં કુલ 383 કિલોમીટર રસ્તાઓના 24 વિકાસ કામો હાથ ધરાશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ માર્ગ સુધારણા પ્રોજેક્ટોથી ઔદ્યોગિક વિસ્તારો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત બનશે અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભું કરવામાં મદદ મળશે. ભારત સરકાર અને નીતિ આયોગનો માસ્ટર પ્લાન તૈયારભારત સરકાર અને નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના આર્થિક માસ્ટર પ્લાનને લગભગ 17 મહિના પહેલા સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ 2047 સુધી સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્રોમાં સ્થાન અપાવવાનો છે. વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા પગલુંમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સુરત ઇકોનોમિક રિજિયન માટે તૈયાર કરાયેલ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ દૃષ્ટિવંત અને સર્વસમાવેશી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજનબદ્ધ શહેરો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડની ફાળવણીજિલ્લાવાર ફાળવણીમાં સુરતને સૌથી વધુ રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે વલસાડને રૂ. 264 કરોડની મંજૂરી આપવામાં આવી છે. બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં માર્ગ વિકાસ માટે ખર્ચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રોકાણો ઔદ્યોગિક ક્લસ્ટરો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે. વિવિધ શહેરો અને તેની ખાસિયતનીતિ આયોગના અહેવાલ મુજબ, સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત કેમિકલ ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા લોજિસ્ટિક્સ સેવાઓ પણ અહીં મજબૂત છે. જ્યારે ભરૂચમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનું જોર છે, નવસારી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, તાપીમાં એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે અને વલસાડમાં કેમિકલ ઉદ્યોગો સાથે પ્રવાસન પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. દ. ગુજરાતની જીડીપી 2047 સુધીમાં 45,000 ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યહાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી લગભગ 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સુરતનું વ્યૂહાત્મક સ્થાન અને એક્સપ્રેસવે, રેલવે, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવી સુવિધાઓ તેને વૈશ્વિક ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં વધુ ગતિ આપશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં ડિવાઇન રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે સોસાયટીના સેક્રેટરી અને સભ્ય વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી. સોસાયટીના સભ્યની ગાડી બ્લોકના પાછળ આવવા જવાના રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. જેથી, ડ્રાઇવરે ગાડી હટાવવાની ના પાડી હતી અને મારા શેઠે અહીંયા જ મૂકવા કહ્યું હતું એમ કહ્યું હતું. આ દરમિયાનમાં ગાડી માલિક આવ્યા હતા અને તેમણે વાતચીત કરી હતી. બંને પક્ષે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છેસાયન્સ સીટી રોડ પર આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીમાં ગૌરવભાઈ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે અને બે વર્ષથી સોસાયટીના સેક્રેટરી છે. 12 તારીખે રાત્રે પોણા દસ વાગ્યાની આજુબાજુ ગૌરવભાઈ અને સોસાયટીના અન્ય સભ્યો ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે સોસાયટીમાં રહેતા નિપુનભાઈ સિંઘવીના ડ્રાઇવર ગાડી લઈને ઈ બ્લોક પાછળ આવવા જવાના રસ્તા પર સોસાયટીના અડચણરૂપ ગાડી પાર્ક કરતા હતા. જેથી, ડ્રાઇવરે કહ્યું હતું કે ગાડી અહીંથી નહીં. અમારા શેઠ નિપુનભાઈએ અહીંયા ગાડી પાર્ક કરવાનું કહ્યું છે. જે બાદ ડ્રાઈવરે ગાળાગાળી કરવાની શરૂઆત કરી હતી, તેમના શેઠને ફોન કરી બોલાવ્યા હતા. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતીનિપુનભાઈ અને તેમના બે જુનિયર વકીલ આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારા માણસને ગાડી મૂકતા કોણે રોકી છે? રાજકારણમાં મારી મોટી ઓળખાણ છે? મારું કશું નહીં બગાડી શકો. હું સોસાયટીના નિયમો માનવાનો નથી ગાડી ગમે ત્યાં મુકીશ થાય તેમ કરી લેજો. ગૌરવભાઈએ જણાવ્યું હતું કે, બપોરે સિક્યુરિટી ગાર્ડ પાસેથી સોસાયટીનો માઈગેટ એપ્લિકેશનનો મોબાઇલ ફોન લઈ લીધો છે તે પણ પાછો આપો. જેથી તેમણે કહ્યું હતું કે, ફોન તોડી નાખ્યો છે થાય એમ કરી લેજો સોસાયટીના સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને તમામ સભ્યો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તેઓએ ભેગા થઈ અને ગાળો બોલી માર્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી હતી. બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોધી હતી. ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છેનિપુનભાઈએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રે હું મારા બે જુનિયર વકીલો સાથે ઘરે હાજર હતો ત્યારે મારા ભાઈ અજયભાઈનો ફોન આવ્યો હતો કે, ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે ગાડીના પાર્કિંગ બાબતે ઝઘડો થયો છે. જેથી, જુનિયર વકીલની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા હતા અને જ્યાં અમારા બે ડ્રાઇવર હાજર હતા. તેઓ જણાવ્યું હતું કે, ગૌરવભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી છે સેક્રેટરી અને અન્ય સભ્યો ત્યાં હાજર હતા. આ બાબતે અગાઉના ઝઘડાની અદાવત રાખી અને ગાળા ગાળી કરી હતી. તમામ લોકોએ એકસંપ થઈને ગાળો બોલવા લાગ્યા હતા તેમની માતા વચ્ચે પડતા તેઓ પણ નીચે પડી ગયા હતા. સોસાયટીના માણસો ભેગા થઈ ગયા હતા આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોસાયટીના સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું અને ગાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિંગવડ તાલુકાના આગામી પ્રવાસને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે, જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિંગવડ ખાતે યોજાનાર કાર્યક્રમની સફળતા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે. તેથી, સુરક્ષા અને સુવિધા બંને પાસાઓને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે. તેમણે સ્ટેજ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, તેમજ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા એવી રીતે ગોઠવવા તાકીદ કરી હતી જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે. કલેક્ટરે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પંખા-કુલર, અવિરત વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને સુચારૂ આયોજન કરવા માટે જરૂરી સૂચનો કર્યા. કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરે પૂર્વ આયોજન પર ભાર મૂક્યો હતો. આ મહત્વની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી અને પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ અને બ્રિજેશ ચૌધરી સહિત અન્ય સંકલન અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કલેક્ટરે તમામ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આગામી 15 માર્ચના રોજ સાંજે 'નમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવે અને તેમની 150 કલાકારોની ટીમ પરફોર્મ કરશે. આકાશમાં ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે સવારે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ શાસ્ત્રી મેદાનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ 'નમોત્સવ'માં લોકસાહિત્યકાર સાઈરામ દવે તેમની 150 આર્ટિસ્ટની વિશાળ ટીમ સાથે જીવંત પ્રદર્શન આપશે. વિદ્યાનગરના આકાશમાં પ્રથમ વખત અત્યાધુનિક 'ડ્રોન શો' યોજાશે, જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણ બનશે. અમદાવાદમાં સફળતા મેળવ્યા બાદ, આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પ્રથમ વખત વિદ્યાનગરના આંગણે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે 'ઓપન ફોર ઓલ' રાખવામાં આવ્યો છે. સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની તમામ જનતા માટે આ એક અનેરો અવસર છે. ભવ્ય ડ્રોન શો અને સાઈરામ દવે જેવી પ્રતિભાઓના સંગમથી આ ઉત્સવ ઐતિહાસિક બની રહેશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહિત છે. આણંદ જિલ્લા સહિત વિદ્યાનગર અને આસપાસના વિસ્તારના તમામ લોકોને આ 'નમોત્સવ'માં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 14 વર્ષની 27 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCHO ડૉ. અશોક ડાભી અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાયો હતો. આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કિશોરીઓ અને તેમના વાલીઓની હાજરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન ડોકટરોએ વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય ઉંમરે HPV રસી આપવાથી આ કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લીમખેડા CHCના મેડિકલ ઓફિસર, વિવિધ PHCના તબીબો અને નર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ દરેક કિશોરીનું સ્ક્રીનિંગ કરી, રસી આપી અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. આરોગ્ય વિભાગે 9 થી 14 વર્ષની વયની તમામ દીકરીઓને આ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે.
ભાવનગર ગુરુકુળમાં વાર્ષિક પુરસ્કાર સમારોહ:1500 વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ, સરદારનગર (ભાવનગર) ખાતે ધોરણ 5થી 10 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મેળવેલી સિદ્ધિઓ બદલ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન યોજાયેલી બર્થ-ડે કાર્ડ મેકિંગ, વર્ષા ગાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શ્રુતલેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, એક પાત્રિય અભિનય અને ડાન્સ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અંતર્ગત આંતરશાળાઓ વચ્ચે યોજાયેલી કબડી, વોલીબોલ, ખો-ખો, ચેસ, સ્કેટિંગ, કરાટે, યોગા અને એથ્લેટિક્સ જેવી રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિયાળુ રમતોત્સવ દરમિયાન લંગડી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, કોથળા દોડ, સ્લો સાયકલિંગ, એક મિનિટમાં બિસ્કીટ ખાઓ અને લીંબુ-ચમચી જેવી રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, સુપરવાઇઝર પ્રવીણભાઈ કવા તથા સચિનભાઈ દવે અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ નગરપાલિકા લાખો રૂપિયાનું વીજ બિલ ભરવામાં નિષ્ફળ રહી છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, નગરપાલિકા પાસે પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ અને અન્ય વ્યાપારિક જોડાણો પેટે કુલ 155.93 લાખ રૂપિયા એટલે કે ₹1.55 કરોડની માતબર રકમ લેણી નીકળે છે.ત્યારે વીજકનેક્શન કપાતા લોકોને પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની સેવાઓ તંત્રના વાંકે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. વારંવારની નોટિસ છતાં તંત્રની ઉદાસીનતાPGVCL વેરાવળ વિભાગીય કચેરીના જણાવ્યા અનુસાર, આ બાકી રકમની વસૂલાત માટે નગરપાલિકા તંત્રને અગાઉ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા બિલની ચુકવણી બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહીને પગલે હવે વીજ કંપનીએ કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. 7 દિવસનું અલ્ટીમેટમ PGVCLના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 12 માર્ચ 2026થી આગામી 7 દિવસની અંદર જો બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો નગરપાલિકા હસ્તકના તમામ મહત્વના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. આ કડક કાર્યવાહીના કારણે પાણી-સ્ટ્રીટલાઈ સહિતની સેવાને અસરો થઈ શકે છે: પાણી પુરવઠો: વોટર વર્ક્સના જોડાણો કપાતા આખા શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. સ્ટ્રીટ લાઈટ: રાત્રિના સમયે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ શકે છે. જાહેર સેવાઓ: અન્ય સરકારી અને વહીવટી જોડાણો કપાતા જનતાના કામો અટકી શકે છે. નાગરિકોમાં રોષ અને ચિંતાનગરપાલિકાની આ નિષ્ફળતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો નિયમિત ભરવા છતાં તંત્રની આંતરિક બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ કેમ બનવું? જો આગામી સપ્તાહમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો વેરાવળ-પાટણની જનતાએ પીવાના પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારવા પડશે. હવે જોવાનું એ રહે છે કે આ અંતિમ ચેતવણી બાદ નગરપાલિકા જાગે છે કે પછી શહેરને હાલાકીનો સામનો કરવો પડે છે.
પેથાપુરમાં આવેલા શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈત્યાલય, સ્વપ્નવિલા -3 ખાતે ફાગણ વદ નોમ, ગુરુવારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથનો જન્મ કલ્યાણક ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકના પવિત્ર પર્વ નિમિત્તે 48 દીપક પ્રગટાવી ભક્તામ્બર સ્તોત્રનું વિધાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમૂહ આરતીનું આયોજન થયું હતું અને એક ધાર્મિક પ્રશ્ન મંચ પણ યોજાયો હતો. આ કાર્યક્રમોમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ધર્મ વિશે જ્ઞાન મેળવ્યું. આ પ્રસંગે સોનલબેન ગીરીશભાઈ શાહે પ્રથમ તીર્થંકર આદિનાથ, જેમને ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે કેવી રીતે વિશ્વ સંસ્કૃતિના પ્રણેતા તરીકે ભૂમિકા ભજવી તે વિશે માહિતી આપી હતી. તેમણે ભગવાનના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, વૈરાગ્ય, દીક્ષા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અને તેમના નિર્વાણ વિશે વિગતવાર સમજૂતી આપી હતી.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ શામળાજીના અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરોએ ભગવાન શામળિયાને પત્ર પાઠવી, ધજા ચડાવી અને જિલ્લાના વિકાસ માટે પ્રાર્થના કરી. આ વિરોધ શામળાજી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ શામળાજીમાં વર્ષ 2011માં નગરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર સિવાયના સમગ્ર શામળાજી નગર, બજારો અને વહીવટી કચેરીઓ સહિતના વિભાગો ધ્વસ્ત કરાયા હતા. ત્યારબાદ શામળાજી મંદિરનો વિકાસ થયો છે, પરંતુ મંદિર આસપાસના શૌચાલય, રિંગરોડ, પુનર્વસન, વેપારીઓની દુકાનો, પાર્કિંગ સહિતના અનેક વિકાસ કાર્યો અટકી પડ્યા છે. શામળાજીની અમલમાં મુકાયેલી અને અટકી ગયેલી ટીપી સ્કીમને રિવાઇઝ કરવાની વાત પણ અધ્ધરતાલ છે, જેના કારણે તમામ વિકાસ કાર્યો થંભી ગયા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ અટકેલા વિકાસ કાર્યોને ઝડપી બનાવવા અને યાત્રાધામ શામળાજી થકી સમગ્ર અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય તે માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. આ માટે તેમણે ભગવાન શામળિયાના ચરણોમાં પત્ર પાઠવ્યો, મંદિરની પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી જિલ્લાના ઝડપી વિકાસ માટે પ્રાર્થના કરી.
પાલીતાણાની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીની રિયા ત્રિવેદીએ ઋષભ જન્મોત્સવ દરમિયાન આયોજિત પ્રોજેક્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિયાએ ગુરુકુળ શિક્ષણ પરંપરા અને શત્રુંજય AI સેન્ટર પર એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ 10 અને 11 માર્ચના રોજ રાજવાડી ખાતે યોજાયો હતો. ઋષભ જન્મોત્સવ નિમિત્તે પાલીતાણા શત્રુંજય યુવક મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ અને તેમની ટીમે પાલીતાણાની 92 જેટલી શાળાઓના બાળકોને આ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કર્યા હતા. આ પ્રદર્શનમાં બાળકો માટે ચિત્ર અને પ્રોજેક્ટ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રિયા ત્રિવેદીએ 'આધુનિક શિક્ષણ સાથે સંસ્કારોનું મહત્વ' વિષય પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેણે આદપુર સિદ્ધવડ, મૂળિયાં અને ગિરિરાજના મોડેલ દ્વારા મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. રિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક શિક્ષણ ત્યારે જ ટકી શકશે જ્યારે તે આપણા પ્રાચીન મૂલ્યો અને મૂળિયાં સાથે જોડાયેલું હશે. તેણે શત્રુંજય AI સેન્ટર જેવા વિષય પર પણ ધ્યાન દોર્યું હતું. નિર્ણાયક ટીમ દ્વારા રિયાના પ્રોજેક્ટને દ્વિતીય નંબર માટે પસંદ કરવામાં આવ્યો હતો. સંતોના હસ્તે રિયા ત્રિવેદીને ₹7000ની રકમ આપી સન્માનિત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગ સક્રિય બન્યો હતો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દળને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કોર્ટ પરિસરમાં બોમ્બ શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને કારણે પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાળકોએ તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ તેમજ ભારતની સંસ્કૃતિને લગતા વિવિધ અને અનોખા શૈક્ષણિક મોડેલ રજૂ કર્યા હતા. આ મોડેલો દ્વારા તેમણે પાઠ્યપુસ્તકના જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું હતું. આ પ્રદર્શનને નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શૈક્ષણિક પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત પ્રાયોગિક જ્ઞાન અને તેમનામાં રહેલી સુષુપ્ત કૌશલ્યો વિકસાવવાનો હતો. સમગ્ર આયોજન શાળાના સંચાલક પ્રજ્ઞેશભાઈ, આચાર્ય રીટા મેડમ અને તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
વિવેકાનંદ કોલેજમાં જોબ ફેર યોજાયો:50+ કંપનીઓ અને 30+ સ્કૂલોએ ભાગ લીધો
વિવેકાનંદ કોલેજ અને રેડ એન્ડ વાઈટ સ્કીલ એજ્યુકેશન દ્વારા 12 માર્ચ, 2026ના રોજ કોલેજ કેમ્પસમાં જોબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો હતો. આ જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ અને 30થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. તેમણે વિદ્યાર્થીઓ અને યુવા ઉમેદવારો માટે વિવિધ પદો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. કોલેજના B.C.A., B.B.A., B.Com. અને B.Ed. ફેકલ્ટીના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને રોજગારની તકો મેળવવાની તક મળી હતી. વિવેકાનંદ કોલેજના સંચાલક મંડળે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવા રોજગાર મેળા દ્વારા યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કોલેજના ટ્રસ્ટી હિતેશકુમાર દેસાઈ, પ્રોફેસરો, તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
એચ.એ. કોલેજમાં દાંડીયાત્રા પર વક્તવ્ય:ગાંધીજીની ઐતિહાસિક યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજની ગાંધીઅન સોસાયટી દ્વારા દાંડીયાત્રા સંદર્ભે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં દાંડીયાત્રાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 12મી માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પર લાદવામાં આવેલા વેરાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દ્વારા તેમણે અસહકારનું આંદોલન પ્રારંભ કર્યું હતું, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, આ દાંડીયાત્રામાં 78 સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. તેઓ 24 દિવસ સુધી 385 કિલોમીટર ચાલીને દાંડી પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન ગાંધીજીએ અનેક જાહેરસભાઓ યોજીને મીઠાના વેરા સામે જાગૃતિ ફેલાવી હતી. આ ઐતિહાસિક ઘટનાથી સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો અને સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ હતી. સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારિત આ આંદોલને બ્રિટિશ સલ્તનત સામે દેશવ્યાપી ચળવળ માટે પ્રેરણા પૂરી પાડી હતી. અન્યાય અને શોષણ સામે લડવાની ગાંધીજીની હિંમતે ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. દાંડીયાત્રાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને આઝાદી માટે લડવા પ્રેરિત કર્યા હતા.
સમ્રાટ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:માતાઓ અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
સુરતના પર્વત પાટિયા સ્થિત સમ્રાટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 માર્ચ, 2026ના રોજ સવારે 9:00 થી 11:00 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓની શક્તિ, સિદ્ધિઓ અને મહત્વને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ શાળાના સંચાલકોએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું, જેમાં સ્ત્રી સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ રસપ્રદ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક ફેશન શો, હાઉસી કાર્ડ ગેમ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોનો સમાવેશ થાય છે. માતાઓએ ઉત્સાહપૂર્વક રેમ્પ વોક કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી અને રમતોમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, 'હિયર મી આઉટ' નામની એક વિશેષ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ વિષય પર એક પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં, ઉપસ્થિત વાલીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ત્યારબાદ તમામ મહિલાઓ અને શાળા સ્ટાફની હાજરીમાં કેક કટિંગ સેરેમની યોજાઈ, જેણે ઉજવણીને વધુ યાદગાર બનાવી. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્યએ આભારવિધિ પાઠવી હતી. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ અને તેમના ઉત્સાહને કારણે આ કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર બન્યો હતો. શાળા પરિવારે ઉપસ્થિત તમામ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે બાળકોને કેરીનો રસ, પૂરી, સેન્ડવિચ ઢોકળા, શાક અને પાપડ સહિતનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં વૈષ્ણવ સદગૃહસ્થ પરિવારે સહયોગી દાતા તરીકે યોગદાન આપ્યું હતું, જેનો રાહી ફાઉન્ડેશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સ્કૂલના સંચાલકનો પણ આભાર માનવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, અશોકભાઈ દલાલ અને જ્યોત્સનાબેન દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પરથી તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પૃથ્થકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રોહીદાસપરા મેઇન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મ માંથી લેવામાં આવેલ શુદ્ધ ઘી (લુઝ) નો નમૂનો લેબ તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં B.R. Reading at 40 C તથા આયોડિન વેલ્યૂની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હતી. આ ઉપરાંત, સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે, જે શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સમાન છે. આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પેઢી સામે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 12 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની આ ટીમોએ સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી જાણીતી સુપર માર્કેટો અને પ્રોવિઝન સ્ટોર્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાધુવાસવાણી રોડ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણાના નમૂના લેવાયા હતા. તે જ વિસ્તારમાં આર હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ તથા ઓમ સુપર માર્કેટમાંથી મગની છડી દાળ અને કાબુલી ચણાના નમૂના લેવામાં આવ્યા હતા. રૈયા રોડ પર બાલાજી શોપિંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી. બ્રધર્સમાંથી રાજમા અને જય સિયારામ શોપિંગ સેન્ટરમાંથી લીલા વટાણાના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, સાધુવાસવાણી રોડ પર ચંદન સુપર માર્કેટમાંથી અળદ, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, રાજેશ અનાજ ભંડારમાંથી વાલ તથા કાલાવડ રોડ પર એન.કાકુભાઈ ગાંધીની પેઢીમાંથી મઠના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ તમામ 15 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વાઘોડિયા રોડ પર આવેલી કવિ પ્રેમાનંદ શાળામાં 10 માર્ચે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ પ્રોજેક્ટ્સનું સુંદર રીતે નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી. આ ઉપરાંત, કેટલીક ગાણિતિક રમતોનું પણ નિદર્શન કરાયું હતું. દરેક વર્ગના વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને રમતો રમાડવામાં આવી હતી. સાપસીડીની રમત દ્વારા સારી આદતો અને શરીરને સ્વસ્થ રાખવાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. રિસેસ પછી એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને અલગ અલગ રાઉન્ડમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં 'કલ્પના ચાવલા' ટીમે સૌથી વધુ ગુણ મેળવી વિજેતા બની. તેમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આમ, વિજ્ઞાન દિવસનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો.
તાપી જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ગ્રેડ-2 અને એક ખાનગી વ્યક્તિને રૂ. 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં કોઈ ક્ષતિ ન કાઢવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટ માટે લાંચની માંગણીઘટનાની વિગત એવી છે કે, સુરતની નાનપુરા સ્થિત 'સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) ઓડિટ કાર્યાલય'માં ઓડિટર ગ્રેડ-2 તરીકે ફરજ બજાવતા ધર્મેશકુમાર રતિલાલ વસાવાએ ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ 2024-25નું ઓડિટ કર્યું હતું. આ ઓડિટ દરમિયાન કોઈ પણ પ્રકારની ભૂલો વગરનો 'ક્ષતિરહિત' રિપોર્ટ આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે 15,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ઉંચામાળ ગામે ગોઠવ્યું છટકુંફરિયાદીની વિગતોના આધારે સુરત એસીબી એકમના ટ્રેપિંગ ઓફિસર પી.આઈ. કે.જે. ધડુક અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. વ્યારાના ઉંચામાળ ગામે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમ પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી અને ગુપ્ત રીતે આરોપીઓની હિલચાલ પર નજર રાખી રહી હતી. વચેટિયા દ્વારા લાંચ લેવડાવી ફસાયાટ્રેપ દરમિયાન આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચની રકમ પોતે સીધી ન સ્વીકારીને, તેમણે પોતાની સાથે રહેલા ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને પૈસા લેવા માટે ઈશારો કર્યો હતો. જેતલકુમારે જેવી રૂ. 15,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACBએ 15,000ની રકમ રિકવર કરીએસીબીની ટીમે આરોપી જેતલકુમાર પાસેથી લાંચ પેટે સ્વીકારેલા પૂરેપૂરા રૂ. 15,000 રિકવર કર્યા છે. ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ લાંચની માંગણી કરી હોવાનું અને જેતલકુમારે તે સ્વીકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. આ ઓપરેશનમાં ટેકનિકલ પુરાવાઓ અને પંચોની હાજરીમાં વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું, જેના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી. 'ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં'આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, AMCએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે. '21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરો'AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. 'AMCએ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું'હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMCના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 6 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકેઅગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMCએ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. AMCને સર્વે કરતા કોને રોક્યા છે ?જેથી કોર્ટે કહ્યું હતું કે, AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? AMCએ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતાં. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMCનાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી. 'ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ'AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે, એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMCએ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMCના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ. 'શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી?'AMCએ કહ્યું હતું કે, ભદ્ર પહેલા 'નો વ્હિકલ ઝોન નહોતો, હવે વ્હિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે. 'પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો'AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે, કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMCએ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ પર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ? '586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો'AMCએ જણાવ્યું હતું કે, તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો. 'કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો'AMCએ કહ્યું હતું કે, અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વ્હિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં. કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે2017થી ભદ્ર વિસ્તારને વ્હિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMCએ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ. હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના ને વેન્ડર્સ એક્ટની જોગવાઇનો ભંગહાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. AMC વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો અરજીનો નિકાલ થશેહાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે. અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMCનું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. 'AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે'હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 5 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. 'કોર્ટે આદેશ કર્યા હતા, પછી પણ તમે રિ-સરવે કર્યો નથી'હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. 'કોના આદેશથી 2025માં ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા'હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. '844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ?'હાઇકોર્ટે આજની સુનવણીમાં AMCને સવાલો કર્યા હતા કે, વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? 'તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી'ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી. આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે- હાઈકોર્ટAMC તરફથી દલીલ થઈ હતી કે, જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો- હાઈકોર્ટહાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.
સુરત શહેર દેશભરમાં તેની સ્વચ્છતા અને સુઘડ આયોજન માટે જાણીતું છે. સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકા જ્યારે સુવિધાઓના દાવા કરે છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલું હરીનગર શહેરી આરોગ્ય કેન્દ્ર તંત્રના સ્વચ્છતાઓના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યોપાંડેસરા એ સુરતનો શ્રમિક અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના હરીનગર આરોગ્ય કેન્દ્રમાં રોજ સેંકડો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે આવે છે. પરંતુ આ સેન્ટરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાઓ સુધી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. કચરાના આ ઢગલા પર રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે સારવાર માટે આવતા નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છેમાત્ર બહાર જ નહીં, પણ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર પણ ગંદકીના સામ્રાજ્યએ પગપેસારો કર્યો છે. પરિસરમાં ખૂણે-ખૂણે પ્લાસ્ટિકની કોથળીઓ અને ધૂળના થર જોવા મળ્યા છે. જે સ્થળે સ્વચ્છતાના સૌથી ઊંચા ધોરણો હોવા જોઈએ, ત્યાં જ આ પ્રકારની બેદરકારી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા છતી કરે છે. આરોગ્ય કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે ત્યારે દરવાજાની થોડે બહાર આરોગ્ય ક્ષેત્રે વપરાતો દવાનો વેસ્ટેજના કોથળા ભરેલા પણ પડેલા જોવા મળ્યા હતા. રોગચાળાને ખુલ્લું આમંત્રણઆ ગંદકીની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હેલ્થ સેન્ટરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પાણી ખુલ્લી ટાંકીમાં પક્ષીઓનો ચરક, ધૂળ અને કચરો પડે છે. વધુમાં, હાલના સમયમાં જ્યારે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ખતરો વધી રહ્યો છે ત્યારે આવી ખુલ્લી ટાંકી મચ્છરોના બ્રીડિંગ માટે સ્વર્ગ સમાન છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન હાલમાં આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ, પાંડેસરાનું આ દ્રશ્ય સૂચવે છે કે કમિશનરના આદેશો ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી જાય છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ચમકી રહ્યા છે ત્યારે ગરીબ અને શ્રમિક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની કેમ ખરાબ હાલત?
મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા
કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી 108 ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી 108ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતાગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. EMT કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા. પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સારવાર દરમિયાન 108ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,11,500 રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી, તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજીઆજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં નેત્રંગની ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી હતી. જે બાદ સભા સ્થળે પહોંચીને આદિવાસી જનસભાને સંબોધી હતી. ‘નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે. તેમજ કહ્યું કે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસીના ગામેગામમાં જે કામગીરી ચાલી રહી છે, તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે આદિવાસી ગૌરવ સંમેલન. વિશ્વનો સૌથી મોટો વેપારનું કેન્દ્ર એટલે ભરૂચ જિલ્લો. ‘કોંગ્રેસે માત્ર વોટ લેવા જ આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારાવાળી સરકારે આદિવાસી સમાજની ઉન્નતી માટે જે કામ કરવાનું હતું એ ન કર્યું. કોંગ્રેસની સરકારે વર્ષો-વર્ષ સુધી આદિવાસી સમાજનો માત્ર વોટ લેવા જ ઉપયોગ કર્યો છે. આઝાદી મેળવવા આદિવાસી સમાજના અનેક યુવાનોએ સહાદત આપેલી, એમણે એ માટે સહાદત આપી કે અમારી આવનારી પેઢીઓને આનો હક મળશે પણ કોંગ્રેસની સરકારમાં આદિવાસી સમાજને કોઇ હક ન મળ્યો. ‘આદિવાસી સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે’હર્ષ સંઘવીએ વધુ જણાવ્યું કે, આ સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે. આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી. વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેજોને પોતાના ટેલેન્ટ અને રુપિયા પર ઘમંડ હતો પણ આદિવાસી ભાઇઓએ તીર-કામઠાથી એમનો ઘમંડ તોડી દીધો હતો. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદનભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયેલા આગેવાનોને આવકાર્યાંહર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકારમાં ચાર-ચાર મંત્રી આદિવાસી છે. કોંગ્રેસ, આપ અને બિટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા હર્ષસંઘવીએ તેઓને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાંભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણપત વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા,ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર ખાતે જનસભાને સંબોધી અનેક આદિવાસી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ્યાં હતા. તે વિસ્તાર ચૈતર વસાવાના રાજકીય પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ત્યારે ફરી એકવાર નેત્રંગમાં યોજાયેલી આદિવાસી સભાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા થોડા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જે વિસ્તારોમાં અગાઉ મોટા રાજકીય નેતાઓની હાજરી ઓછી જોવા મળતી હતી, તે જ વિસ્તારોમાં હવે મોટા પાયે રાજકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના સંકેતો વચ્ચે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા અને રાજકીય આધાર વધારવા માટે દિગ્ગજ નેતાઓને સક્રિય બનાવવામાં આવી રહ્યા હોવાનો રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નેત્રંગ મુલાકાતને પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી પુરસ્કાર-2025'ની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની બે સદસ્યની ટીમે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ મંત્રાલયના નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ જિલ્લાના નવતર 'જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ' અંગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બ્રીફિંગ બેઠક યોજી પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. બજેટ અને લાભાર્થીઓમાં વધારોઆ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે ,જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રોજેક્ટને વર્ષ દર વર્ષે વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં 10.95 લાખના ખર્ચે 147 બાળકોથી શરૂ થયેલી આ સફર ચાલુ વર્ષે 50 લાખના માતબર બજેટ સુધી પહોંચી છે. જેનો સીધો લાભ હાલ 248 બાળકોને મળી રહ્યો છે. જિલ્લા દ્વારા આ બાળકોને પેન ઇન્સ્યુલિન પૂરા પાડવામાં આવે છે અને દર ત્રણ મહિને ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરી નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર રાજ્ય માટે મહેસાણા મોડેલ બન્યું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મહેસાણા જિલ્લાની આ માનવીય અભિગમવાળી કામગીરીની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. જેના ફલસ્વરૂપે હવે સમગ્ર ગુજરાતમાં જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોના નિદાન અને સારવાર માટે 'SOP' તૈયાર કરવામાં આવી છે. જેનો લાભ રાજ્યભરના બાળકોને મળશે. આ ઉપરાંત ડાયાબિટીસ ધરાવતા બાળકોના માનસિક અને ઇમોશનલ સપોર્ટ માટે યોજાતા 'મધુમેલા' જેવા કાર્યક્રમોની વિગતો જાણી કેન્દ્રીય અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની મુક્તકંઠે સરાહના કરી હતી.
જૂનાગઢ શહેરના રાજકોટ રોડ પર આવેલા મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે, કારણ કે મૃતદેહ રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં છુપાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે, જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત છેલ્લા ઘણા દિવસો પહેલા થયું હશે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો છે. મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહની હાલત ઘણી ખરાબ હોવાથી તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મોતના ચોક્કસ સમય અને કારણ વિશે જાણી શકાય. બીજી તરફ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલી ગુમશુદાની અરજીઓ સાથે આ વ્યક્તિનું વર્ણન મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.
ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો:₹3.05 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર
શંખેશ્વર તાલુકાના ટુવડ ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.એ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ ₹3,05,312 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે 959 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત ₹2,65,312 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી નંબર પ્લેટ વગરની ₹40,000 ની કિંમતની એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ મળી આવી હતી. પાટણ એલ.સી.બી. શાખાના કર્મચારીઓ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ટુવડ ગામની સીમમાં નદીવાળા ઓટામાં આવેલા ખેતરમાં વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર નામનો શખ્સ સ્વિફ્ટ ગાડીમાંથી દારૂ ઉતારી રહ્યો છે. પોલીસે પંચો સાથે દરોડો પાડ્યો તે પહેલા જ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે ખેતરના શેઢા પાસે કાળા કલરની તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર, મેજિક મોમેન્ટ્સ જામુન સ્પાઈસી અને ઓરેન્જ ફ્લેવર, તેમજ 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની બોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહે શંખેશ્વર પોલીસ મથકે વિષ્ણુજી ઉર્ફે લાલાજી નવઘણજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. શંખેશ્વર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોરે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાની લાખવડ સ્કૂલના શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અને બજારુ પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાગૃતિને કારણે આજે સ્કૂલના 500 જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિકના બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌઆ કે થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવે છે. વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતોલાખવડ સ્કૂલના શિક્ષિકા સંગીતાબેન રાવલે જ્યારે શાળાના મેદાનમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર્સ અને બોટલોનો કચરો જોયો ત્યારે તેમણે સ્કૂલ પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ કર્યો. તેમણે ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરીને સૌપ્રથમ સ્કૂલના સંકુલમાંથી વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા ક્ચરો એકઠો કર્યો હતો. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ નાસ્તો આપવા વિનંતી કરીમાત્ર સફાઈ જ કરાવી નહીં પણ બાળકોની જીવનશૈલી બદલવા માટે તેમણે વિદ્યાર્થીઓને રેડીમેડ પડીકાના નાસ્તાથી થતાં નુક્સાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો વિશે રોચક નાટક, અભિનય દ્વારા સમજણ આપી. પડીકા પર અંગ્રેજીમાં લખેલી વિગતોનુંગુજરાતીમાં અનુવાદ કરીને તેમાં વપરાતા હાનિકારક પામ ઓઈલ અને મસાલાઓ વિશે બાળકોને જાગૃત કર્યા. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરી હતી. 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા લાવતા થયાત્રણ મહિનામાં સ્કૂલના 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવતા થયા છે. જે બાળકો પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ લાવતા હતા. તેમને પણ અટકાવીને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. શાળામાં નર્મદાના શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા હોવાથી હવે પ્લાસ્ટિકની બોટલોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે તેમના જન્મદિવસે ચોકલેટ વહેંચીને રેપર્સનો કચરો કરવાને બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ ભેટમાં આપે છે.આ પ્રયાસોના પરિણામે આજે આખી શાળામાં ક્યાંય પ્લાસ્ટિકનું કાગળિયું જોવા મળતું નથી.
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથક દ્વારા પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 1,37,612 બોટલોનો નાશ કરાયોકરજણ પોલીસ મથક દ્વારા છેલ્લા કેટલાક સમયમાં વિવિધ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રેન્જ આઇજી સંદિપ સિંગ વડોદરા તથા ડીએસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો મુદ્દામાલ સમય મર્યાદામા કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી નાશ કરવા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે કરજણ પીઆઈ બી.એમ.પટેલ દ્વારા જરૂરી ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સક્ષમ ન્યાયાધીશ પાસેથી જરૂરી પરમીશન મેળવી સબ ડિવીઝનલ મેજીસ્ટેટની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશનનો ગેર કાયદેસર પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવા માટે નિર્ધારીત કરી હતી. 18 ગુનાનો મુદ્દામાલ નાશ કરાયોકરજણ પો.સ્ટેના કુલ 18 ગુન્હાનો મુદ્દામાલ જેમા નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- 1,37,612 જેની કુલ કિ.રૂ. 4,45,84,142નો મુદ્દામાલ પંચો અને કમીટીના સભ્યો રૂબરૂમાં બામણગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીની ખુલ્લી જગ્યામા નાશ કરવામાં આવ્યો.
ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગાંધીનગર અને પાટણ પંથકમાં તરખાટ મચાવનાર 23 વર્ષીય રીઢા ચોર રાહુલ ઉર્ફે મેહુલ પટણીને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ચોરાયેલી રીક્ષા સાથે યુવકને ઝડપી પાડ્યોગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો દિન પ્રતિદિન વધતા PI બી. બી. ગોયલ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્કોડના PSI જે. એચ. મકવાણા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અત્રેના વિસ્તારમાં બાતમીદારોને એક્ટિવ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-13 બગીચા પાસે ચોરાયેલી રીક્ષા સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો છે. જેના પગલે પોલીસે રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઈ પટણી (રહે. હાઉસીંગ બોર્ડના છાપરા, ગાંધીનગર, મૂળ રહે. પાટણ) નામના 23 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી (જીજે-18એવાય-3545) નંબરની સીએનજી રીક્ષા મળી આવી હતી. 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ રીક્ષા થોડા સમય પહેલા જ ચોરવામાં આવી હતી. જે મામલે 60 હજારની કિંમતની રિક્ષા ચોરીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જ્યારે પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પકડાયેલ આરોપી રાહુલ પટણી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સેક્ટર-7, સેક્ટર-21, ઇન્ફોસિટી અને પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી કુલ 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલા છે. સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર ઝડપાયોઆ ઉપરાંત સેક્ટર 7 પોલીસે બેટરી ચોરીના અન્ય એક ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. જેમાં હિંમતસિંહ વાઘેલાની સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર મંગળ બાવરી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ત્રણેય ઘટનાઓની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, મૂળ મધ્યપ્રદેશની અને હાલ મોરબીના લીલાપર રોડ પર વિદ્યુત સ્મશાન સામે આવેલી ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 201માં રહેતી અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી (ઉં.વ. 28) નામની મહિલાએ ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી (ઉં.વ. 30, હાલ સુરત)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા છેલ્લા પાંચ વર્ષથી એકલી રહેતી હતી અને એકલવાયા જીવનથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. બીજા બનાવમાં, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ. 35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. યુવાનનું મોત થતાં તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં, મોરબીના માધાપર શેરી નંબર 18 ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (ઉં.વ. 58) નામના મહિલાએ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બન્યા છે, નારોલ વિસ્તારમાં રહેતા વેપારીને ગાડી વેચ્યા બાદ નામ ટ્રાન્સફર કરાવ્યું નહીં અને પૈસા મેળવી લીધા હતાં. વેચેલી ગાડી પોલીસમાં જમા કરાવવા માટે કહ્યું હતું, જોકે તેના પૈસા પરત માંગતા પૈસા આપ્યાં નહોતા. અવારનવાર વાયદાઓ કરી પૈસા પરત ના આપતા પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં દુકાન પડાવી લેવાના બહાને ભાડા કરાર કર્યો હતો. ત્યારબાદ બનાવટી બાનાખત બનાવી ખોટી સહીઓ કરી અને બળજબરીથી દુકાન પડાવી લઈ છેતરપિંડી કરી છે. પોલીસે છેતરપિંડીના ગુના નોંધી આમ તપાસ શરૂ કરી છે Creta ગાડી 13 લાખમાં લેવાનું નક્કી કર્યું'તુંનારોલ વિસ્તારમાં મોની હોટલ પાસે આવેલી વૃદૂલ પાર્ક સોસાયટીમાં હરેશભાઈ ચાવડા રહે છે જેઓ ગોડાઉન ખરીદ વેચાણનું કામ કરે છે તેમની ઓફિસની નજીક અક્ષય પ્રજાપતિ નામના વ્યક્તિની મોબાઇલની દુકાન આવેલી છે જેથી તેને ઓળખે છે. હરેશભાઈને સેકન્ડમાં ગાડી લેવાની હોવાથી અક્ષય પ્રજાપતિને વાત કરી હતી. 18 ઓગસ્ટ 2024ના દિવસે અક્ષય પ્રજાપતિએ કાળા કલરની Hyundai Creta ગાડીના ફોટા બધા વેચાણમાં આવી છે, જેથી જે ગાડી જોવા માટે બીજા દિવસે બપોરે ગયા હતાં. હરેશભાઈએ તેમના પરિવારના સભ્યોને લઈ ગયા હતા અને ગાડી જોઈ હતી બેથી ત્રણ માસ જૂની છે અને 15 લાખ રૂપિયા ભાવ છે. પરંતુ ઓછા ભાવે વેચવાની છે તેમ કહી 13,00,000માં લેવાનું નક્કી કર્યું હતું. 'મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે, વેચેલી ગાડી જમા કરાવીશું તો છોડી દેશે'ક્રેટા ગાડીમાં બેસીને અક્ષય પ્રજાપતિને રોકડા 6.55 લાખ રૂપિયા આપ્યા હતા, બાદમાં અલગ અલગ રીતે ટુકડે ટુકડે કુલ 10 લાખ રૂપિયા આપ્યા હતા અને ગાડી હરેશભાઈને આપી દીધી હતી, બાદમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે કહ્યું હતું. એક સપ્ટેમ્બર 2024 ના રોજ અક્ષયના પિતાએ હરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો મારા દીકરાને પોલીસે ગુનામાં પકડ્યો છે અને તમને વેચેલી ગાડીને જમા કરાવીશું તો અક્ષયને છોડી દેશે. ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરીજેથી હરેશભાઈએ કહ્યું હતું કે, ગાડીના 10 લાખ રૂપિયા આપી દો. જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી પાસે પૈસા નથી અમારી માલિકીની દુકાન અને ફોરવ્હિલરની ગાડીની ચાવીઓ તમને આપીએ છીએ જેનું કાયદેસરનું લખાણ કરી આપીશું. ત્યારબાદ જયંતિ પ્રજાપતિએ ખોટા વાયદા કરીને ગાડીના પૈસા પરત ના આપી છેતરપિંડી કરતા તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખોટા બાનાખત કરી મહિલાની દુકાન પડાવી લીધીમૂળ ધોળકાના રાધનપુરી વાડમાં રહેતા ફારુકભાઈ રાધનપુરી ધોળકામાં જ કાપડનો વેપાર કરે છે. જુહાપુરામાં રોયલ અકબર ટાવરમાં વર્ષ 2001માં તેમની માતાના નામે દુકાન ખરીદી હતી. વર્ષ 2014માં આ દુકાન નાવેદ ખાન મહેંદી નામના વ્યક્તિને ભાડે આપવામાં આવેલી હતી. જેનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે વર્ષ સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો. 2016 સુધી ભાડા કરાર કરવામાં આવ્યો હતો જેની મુદત પૂરી થતાં નાવેદ ખાન અને તેમના પુત્રને વાત કરતા નવો કરાર કર્યો નહોતો અને અવારનવાર દુકાન માલિક ફારુકભાઈની માતાને ધક્કા ખવડાવતા હતા દુકાન ખાલી કરવા માટે કહ્યું છતાં પણ તેઓ ભાડા કરાર નહીં કરે દુકાન ખાલી નહીં કરે અને ટેક્સ પણ નહીં ભરે એવી વાત કરી હતી. મહિલાઓ કોઈપણ પ્રકારનો બાનાખત કરી આપ્યો નથીદુકાન ખાલી કરવા અંગે વાત કરી ત્યારબાદ પણ વર્ષ 2021માં ઝોન 7 ડીસીપીને આ મામલે અરજી કરી હતી અને જેની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. જેથી નાવેદ ખાનને પોલીસ સ્ટેશન બોલાવતા તેમણે કહ્યું હતું કે દુકાન માલિક જૈનબબીબીને રૂપિયાની જરૂરિયાત પડતા વર્ષ 2018માં તેમણે ટુકડે ટુકડે રૂપિયા 15 લાખ રૂપિયા આપ્યા છે અને તેનો બહાનાખત કરી આપ્યો છે તેવું બતાવ્યું હતું. બાનાખતની નકલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. જૈનબ બીબીએ કોઈપણ પ્રકારનો બહાનાખત કરી આપ્યો નથી જેથી નાવેદખાને રજૂ કરેલા બહાના ખતમાં તેમની સહી હતી જે ખોટી સહી હોવાનું ધ્યાને આવ્યું હતું. FSLની ખરાઈમાં સહિઓ ખોટી હોવાનું ખુલ્યુંનાવેદખાને ખોટા બાનાખતના આધાર બતાવીને કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો અને ખોટા બહાનાખત કરાર બનાવવામાં આવ્યા હતાં. જે બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત બાદ FSL કચેરીમાં ખરાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જે FSLની ખરાઈ થઈને આવી હતી જેમાં ખોટી સહી હોવાનું ધ્યાને આવતા આ મામલે વેજલપુર પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોટાદ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:સ્થાનિક ચૂંટણી જીતવા કાર્યકરોને માર્ગદર્શન અપાયું
બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને આગામી જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોટાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. ટ્રેનર તરીકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રમેશભાઈ શીલું અને ભાવનગર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ હાજરી આપી હતી. તેમણે સેક્ટર અને મંડળ પ્રમુખોને જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ કેવી રીતે જીતવી, લોકસંપર્ક કેવી રીતે વધારવો, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉપાયો તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં 106 ગઢડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ એમ. ચાવડા, તાલુકા કોંગ્રેસના પ્રમુખો, માજી પ્રમુખ રમેશભાઈ મેર, કોંગ્રેસના વિરલભાઈ કટારિયા તેમજ મહિલા પ્રમુખ ગીતાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનો દ્વારા આગામી જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણીઓમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડ દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે એક એક અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં કિડનીની જરૂરિયાત અને તેની જાળવણી અને મહત્વની કેટલીક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ કિડનીના સ્વાસ્થ્ય અને રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે વિશ્વભરમાં વિશ્વ કિડની દિવસ ની ઉજવણી 12 માર્ચ કરવામાં આવી છે. કિડનીના રોગો વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકોને અસર કરે છે. તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ, હાઇ બ્લડપ્રેસર અને આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના મુખ્ય કારણોમાં ડાયાબીટીશ અને હાઇ બ્લડપ્રેશરનો સમાવેશ થાય છે. કિડનીના રોગોના લક્ષણો જોવામાં આવે તો પગ હાથ અથવા ચહેરામાં સોજા આવવા, હાઇબ્લડ પ્રેશર હોવું, લોહીની ઉણપ અથવા એનીમીયા, હાડકાની સમસ્યાઓ જેવી કે હાડકાની નબળાઈ. કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકોએ નિયમિત તપાસ કરાવવી. સારી આરોગ્યશૈલી અપનાવવી અને રોગોના લક્ષણોને ઓળખવા માટે જાગૃત રહેવું જોઇએ. આ વિશે વધુ માહિતી આપતા ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી લીમીટેડના ડિરેકટર ડૉ. પ્રજ્ઞેશ ભારપોડાએ જણાવ્યું હતું કે વિશ્વ કિડની દિવસે અમે લોકોને જાગૃત કરવા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ રોગથી બચી શકાય છે પરંતુ તેના માટે જાગૃતતા હોવી જરૂરી છે. સમયસર ચેકઅપ થવું જોઈએ જેથી તેની સમયસર સારવાર થઇ શકે તો આ રોગથી અવશ્ય મુક્તિ મળી શકે તેમ છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં, નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો છે. મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો મળતી માહિતી મુજબ, ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશ કુમાર ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકના પિતા કમલ કુશવાહા અને માતા રેખા કુશવાહા આ ઘટનાથી ભારે આઘાતમાં છે. વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ બાળકની માતા રેખા બહેને જણાવ્યું કે, મારો દીકરો ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને તેને પકડી લીધો હતો. આ વિસ્તારમાં 10-12 શ્વાનોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા માત્ર રસીકરણ અને ખસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જૈસે થી છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે.
વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા:પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા MG રોડ પર અફરાતફરી
વલસાડ શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, પાલિકા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિને ટ્રેક્ટર ચલાવવા અપાતા આ ઘટના બની હતી. સવારના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ હતી, ત્યારે પાલિકાનું કચરો ઉઠાવવાનું ટ્રેક્ટર એમ.જી. રોડ પર ટાવર પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક્સ તેમજ અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર લોકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરનો અસલી ડ્રાઈવર હાજર નહોતો અને ટાવર પાસેથી કોઈ અજાણ્યા શખ્સને ટ્રેક્ટર ચલાવવા માટે આપી દેવાયું હતું. બિનઅનુભવી વ્યક્તિના હાથમાં સરકારી વાહન સોંપવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તેમનું કહેવું છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, ભરેલા બજારમાં આવી રીતે બિનઅનુભવી માણસને ટ્રેક્ટર સોંપવું એ પાલિકાની ઘોર બેદરકારી છે. જો કોઈ રસ્તે ચાલતું વ્યક્તિ અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાત. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે વલસાડ નગરપાલિકા આ ઘટનામાં જવાબદાર કર્મચારી કે ડ્રાઈવર સામે કેવા પગલાં ભરે છે. શું અજાણ્યા વ્યક્તિને વાહન સોંપનાર સામે તપાસ થશે કે પછી આ મામલો થાળે પાડી દેવાશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી ધરપકડ કરી લાવતી વખતે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આરોપીને ગુજરાત લવાતો હતોSMCની ટીમ ગુજસીટોકના ગુનાના આરોપી શકાજી ડાંગીની રાજસ્થાનથી અટકાયત કરી ગુજરાત લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક માર્ગ પર આરોપીએ પોલીસને ચકમો આપી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે SMCની ટીમે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા હાથે વાગી હતી. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઈજાગ્રસ્ત આરોપીને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા SMCના ઉચ્ચ અધિકારીઓ સહિત એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરી અને LCB PI ડી.સી. સાકરીયા કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તબીબો દ્વારા આરોપીની સારવાર ચાલી રહી છે.
ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29(E) નિયમો મુજબ રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) મારફતે જ કરવામાં આવશે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે સરકારે જણાવ્યું છે કે, અનેક વિભાગોમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે, જેઓ નક્કી કરેલી સમયમર્યાદા અને કિલોમીટર મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોને વાહનોના નિકાલ માટે એકસરખી પ્રક્રિયા અપનાવવા સૂચના આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે. જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે. તે સિવાય 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાના રહેશે. વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશેસરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનો નિકાલ માત્ર Registered Vehicle Scrapping Facility (RVSF) મારફતે જ થશે. વાહનને કન્ડેમ (Condemn) જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત RTO/ARTO કચેરીમાં કરવામાં આવશે અને પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરાશે. વાહનના નિકાલ માટે તેની નિલામી કિંમત નક્કી કરતી વખતે મૂળ ખરીદી કિંમતમાંથી અંદાજે 4 ટકા દર વર્ષે ઘટાડીને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશે. સ્ક્રેપિંગ પ્રક્રિયા MSCTC અને GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા હરાજી દ્વારા કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારા બિડર્સમાંથી સર્વોચ્ચ બોલી આપનારને વાહન સ્ક્રેપ માટે આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લાકક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, RTO પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નિલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે. સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશેસરકારે વધુમાં જણાવ્યું છે કે આ નિયમો GSRTCના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોને લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે.
પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત બાદ 24 કલાક વીતી ગયા હોવા છતાં ગતિરોધ યથાવત છે. હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગત દિવસે પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હત્યારાઓની ધરપકડ થઈ નથી. આથી પરિવારે હત્યારાને પકડવાની પોતાની માંગ પર અડગ રહીને મૃતદેહનો કબજો લેવાનો ઇનકાર કર્યો છે. હાલમાં મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર માટે દેહનો કબજો લેવામાં આવશે નહીં. આ માંગ સાથે વહેલી સવારથી જ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારપુર ખાતે DYSP સહિત પોલીસની વિવિધ ટીમો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પરિવાર અને સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવારે પોતાની માંગ પર મક્કમ રહીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર યથાવત રાખ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હોવાનું જણાવ્યું છે.
છેલ્લા કેટલાય દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઘરેલુ ગેસ ઉપયોગ લેતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાતા એક એક બોટલ માટે તરસી રહ્યા છે. આજે સત્તત ત્રીજા દિવસે વડોદરામાં ગેસ એજન્સી આગળ લાંબીલંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ લોકો જાતે બુક જાળવી પાવતી મેળવવા માટે લાઈનમાં ઊભા રહેતા હોવાનું એજન્સીએ જણાવ્યુ હતું. વિવિધ ગેસ એજન્સીઓ પર સવારથી જ ગ્રાહકોની લાઈનઅમેરિકા -ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગેસની અછત ઉભી થશે એવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે એવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. કેટલાક લોકોને એજન્સી પર ભરોસો નથી એટલે જાતે જ એજન્સી પર જઈ પાવતી મેળવી ગોડાઉન પર જઈ બોટલ મેળવી લે છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે બુકિંગનો આંકડો 8 હજારથી 12 હજારે પહોંચ્યોવડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં IOCL દ્વારા 6 હજાર, SPCL દ્વારા 5 હજાર અને BPCL દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. 'ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું, લાઇન જોઈને જતો રહું છું'સવારથી લાંબી કતારમાં ઉભેલા ગ્રાહક પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે,અહીંયા બહુ તકલીફ પડે છે, ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું. લાઇન જોઈને જતો રહું છું. આજે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય લાઈનમાં ઊભા જ રહેવું છે. આટલા તાપમાં પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. ગરમી સખત પડી રહી છે. અત્યારે ઓનલાઇન બુકિંગમાં પણ આ લોકોનું સર્વર ડાઉન છે, એટલે બુકિંગ નથી થતું. મેં બુકિંગ કરાવ્યું છે છતાં પાવતી મેળવીશ તો જ બોટલ મળશે તેવું અહીંથી જાણવા મળ્યું છે. ‘એક કલાકથી ઊભો છું હજુ સુધી મારો વારો આવ્યો નથી’અન્ય એક ગ્રાહક ઓમપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા મુશ્કેલી પડી રહી છે. લાઈન તો ખૂબ જ છે. એક કલાકથી વધુ સમય થયો પરંતુ, લાઈન પૂરી થતી નથી. અમુક લોકોનું બુકિંગ થાય છે અને કેટલાકનું થતું નથી. બુકિંગ વગર બોટલ મળતી નથી એટલે બે દિવસ એમને એમ થઈ ગયા છે. બુકિંગ કર્યા પછી આપણને પાવતી આપે છે તે લઈને જવું પડે છે. તેઓ આપવા આવે તો પણ 15-20 દિવસ જેટલો સમય લાગશે. ‘હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય’અન્ય એક ગ્રાહક મહેશભાઈ બોધવાનીએ જણાવ્યું હતું કે, હું વારસિયાનો રહેવાસી છું. અને હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય છે. બીજા કે ત્રીજા દિવસમાં આવી જાય છે. આ લોકો સમજતા નથી. આ લોકોને અત્યારે એવું કહે છે કે, તમે લોકો અહીંયા પાવતી ફડાવો એના પછી તમારે 15 દિવસમાં આવશે તે વાત શક્ય નથી.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારી પહોંચ્યા:પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે આગમન, કલેકટરે આવકાર્યા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સપરિવાર નવસારીની મુલાકાતે આવ્યા છે. તેઓ નવસારીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ 15 માર્ચના રોજ સુરત ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે પૂર્વે તેઓ નવસારી આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે તેઓ નવસારીમાં પોતાના મિત્રને મળવા આવ્યા છે. તેઓ પરિવાર સાથે નવસારીના ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાતને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તથા પ્રોટોકોલ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામનાથ કોવિંદ 13 માર્ચના રોજ નવસારીમાં રોકાણ કર્યા બાદ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, શહેરમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે જગ્યાની શોધ અને જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, તેમને સરકારી ભવનમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, આંગણવાડી કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કુપોષિત બાળકોની ઓળખ કરી તેમને પૌષ્ટિક આહાર અને સારવાર પૂરી પાડવા માટે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનનો સચોટ ઉપયોગ કરવા જણાવાયું છે સાથે જ MMY અને THR (ટેક હોમ રાશન) નું વિતરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે, 'ફેસ રેકગ્નિશન સિસ્ટમ' (FRS) દ્વારા હાજરી પૂરવાની પ્રક્રિયાને વધુ વેગવંત બનાવવા સૂચના આપવામાં આવી હતી, આ બેઠકના અંતે તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને માનદ વેતન સમયસર મળે અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, આ બેઠકમાં કમિશ્નર એન.કે. મિણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાટણ નગરપાલિકા દ્વારા ₹19 કરોડથી વધુના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો છે. પાટણના નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હતી. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રાજ્ય સરકારમાં કરાયેલી રજૂઆતના પગલે ₹19 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત શહેરના ધાનાવાડા છાપરા, પીતાંબર તળાવ, માહી રેસિડેન્સી અને રેલવે નાળા જેવા વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવશે, જ્યાં દર વર્ષે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, પ્રમુખ બન્યાના ત્રીજા દિવસે જ તેમણે પાણી ભરાવાની સમસ્યા જોઈ હતી અને સરકારમાં દરખાસ્ત મોકલી હતી. આ પ્રોજેક્ટની કામગીરી આગામી એક માસમાં શરૂ થશે અને આગામી વરસાદની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આ પ્રોજેક્ટથી મોટી રાહત મળશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે દેવચનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, પરેશન પટેલ, પક્ષના નેતા દશરથ સહિત અન્ય નગરસેવકો અને વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક કોરડો વીંઝાયો છે. મિનરલ વોટર વેચતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ પાણીના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પાછળ મુખ્ય કારણ ઇઝરાયેલ અને ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે, જેના કારણે પ્લાસ્ટિકના રો-મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્લાસ્ટિકના જારના ભાવમાં 40% થી વધુનો ઉછાળોમિનરલ વોટરના વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 20 લિટરના પ્લાસ્ટિક જારના ભાવમાં મોટો ભડકો થયો છે. માત્ર 7 દિવસ પહેલા જે પ્લાસ્ટિકનો જાર 125માં મળતો હતો, તેનો ભાવ હવે વધીને 180 થઈ ગયો છે. એટલે કે માત્ર એક અઠવાડિયામાં 55નો સીધો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારાને કારણે મિનરલ વોટર પ્લાન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 10ની પાણીની બોટલ હવે 15માં મળશેસામાન્ય રીતે મુસાફરી દરમિયાન કે બજારમાં મળતી 10ની મિનરલ વોટરની નાની બોટલ હવે 15માં વેચાઈ રહી છે. પ્લાસ્ટિકના દાણા મોંઘા થતા બોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઈ છે. ગેસની અછત અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે છૂટક વેચાણમાં 5નો વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે. ગલ્ફ કન્ટ્રી અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ જવાબદારવૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ નક્કી કરવામાં ગલ્ફ કન્ટ્રીઝ (ખાડી દેશો) મહત્વનો ભાગ ભજવે છે. ઇઝરાયેલ અને પડોશી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પેટ્રોકેમિકલ્સ આ દેશોમાંથી આવતા હોવાથી તેની અછત સર્જાઈ છે. પરિણામે, સ્થાનિક બજારમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર અસરસુરત એક ઔદ્યોગિક શહેર છે, જ્યાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સ આવેલા છે. આ એકમોમાં દરરોજ લાખોની સંખ્યામાં 20 લિટરના પાણીના જાર મોકલવામાં આવે છે. પાણીના ભાવ અને જારના ભાવ વધતા હવે કારખાનાના માલિકો અને વેપારીઓ માટે આ ખર્ચ મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી હવે મોંઘી પડશે. ઉનાળાની સિઝનમાં જનતાને બેવડો ફટકોમાર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પાણીની માંગમાં પણ વધારો થયો છે. એક તરફ પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે, તો બીજી તરફ ઉપલબ્ધ પાણીના ભાવ પણ વધી રહ્યા છે. ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ મોંઘી થશે તો ઘર ચલાવવું મુશ્કેલ બનશે. વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે મજબૂરીમાં આ ભાવવધારો ગ્રાહકો પર નાખવો પડી રહ્યો છે. વેપારીઓ અને સામાન્ય લોકોની હાલત કફોડીપ્લાસ્ટિકના જાર અને બોટલોના ભાવમાં અચાનક થયેલા વધારાથી વેપારીઓ પણ મૂંઝવણમાં છે. સાત દિવસમાં આવેલો 55નો વધારો અકલ્પનીય છે. હાલમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોથી લઈ રહેણાંક વિસ્તારો સુધી પીવાના પાણીના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ શાંત નહીં થાય, તો પાણીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. વેપારી હિતેશ વણઝારાએ જણાવ્યું હતું કે, અમારે એક ટાઇમ પર આ જે 20 લિટરની બોટલ છે, એ 110થી 115 રૂપિયામાં મળતી હતી અને આજની તારીખમાં અમારે 180 રૂપિયાનો ભાવ સાંભળવામાં આવ્યો છે. કાલે અમે 155માં ખરીદી હતી બોટલ અને આજે ભાવ 180 રૂપિયા છે. ડીલરને તો હવે નુકસાન જ છે કેમ કે જે બોટલ એ લોકો 125 રૂપિયામાં ખરીદતા હતા એ લોકોને સીધો 50 રૂપિયાનો વધારો મળ્યો છે, તો હવે ડીલરોને તો નુકસાન જ છે ને. એક બોટલ પર 50 રૂપિયા વધી જાય એટલે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપી હતી. જોકે, વિપક્ષે આ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. ‘ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી’ : પ્રમુખ આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી છે. ‘વિપક્ષે રોડ પર જઈ તપાસ કરી પછી વાત કરવી જોઈએ’ પ્રમુખ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા એ વિપક્ષનું કામ છે. તેમણે વિપક્ષને સલાહ આપી કે, વિપક્ષે રોડ પર જઈને તપાસ કરીને વાત કરવી જોઈએ, માત્ર જનરલ બોર્ડમાં આવીને બૂમો પાડવી અને મીડિયા સામે આવવું એ તેમનું કામ છે. ‘ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી’ : વિપક્ષ પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝ સિંધીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. તેમણે સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં વાર્ષિક 23 લાખના મેન્ટેનન્સ સામે 1 કરોડ 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. સિંધીએ 12 કરોડના માનસરોવર પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટને પણ ભ્રષ્ટાચાર સાથે જોડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
વડોદરા શહેરના તરસાલી બાયપાસના શ્રીજી આંગણ સોસાયટી ખાતે પારિવારિક ઝઘડામાં છોડાવવા પોલીસ ગઈ હતી. દારૂના નશામાં એક શખ્સે 112 વાનના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યો હતો. આ મામલે કપુરાઇ પોલીસે પોલીસની ફરજમાં અડચણ અને પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 112 હેલ્પલાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીવડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 112 ઇન્ચાર્જ અનાર્મ હેડ કોસ્ટેબલ ચેતનસિંહ વિક્રમસિંહ દ્વારા નોંધાવેલી ફરીયાદ મુજબ 12 માર્ચ 2026ના રોજ 112 હેલ્પલાઈનની ટીમ ફરજ પર હતી. સાંજે કંટ્રોલ રૂમથી ઓફેન્સ અગેન્સ્ટ વુમન ડોમેસ્ટિક વાયોલન્સ અંગેનો ઇવેન્ટ મળતા ટીમ તુરંત જ તરસાલી બાયપાસ વિસ્તારમાં આવેલ શ્રીજી આંગણ સોસાયટી ખાતે પહોંચી હતી. બે શખ્સ દારૂના નશામાં ધમાલ કરતા હતાસ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ દારૂના નશામાં ધમાલ કરતા જોવા મળ્યા હતા. પોલીસ ટીમે બંનેને સમજાવી શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ બિપીનભાઈ વિનુભાઈ રોહિત અને વિનુભાઈ કાલિદાસ રોહિત તરીકે થઈ હતી. બંને દારૂના નશામાં હોવાનુ જણાતા પોલીસે તેમને કાબૂમાં લઇ 112 બોલેરો ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યોઆ દરમિયાન આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિતે પોલીસ સાથે આવેલા ડ્રાઈવર વિષ્ણુભાઈ કિશોરભાઈ બારીયા સાથે ઝપાઝપી કરી છાતીના ભાગે મુક્કો માર્યો હતો. જેના કારણે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી થઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી વધારાની પોલીસ મદદ બોલાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધ્યોઆ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં આરોપી બિપીનભાઈ વિનુભાઈ રોહિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 221 તથા 121(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ પીધેલા હોવાને કારણે તેના વિરુદ્ધ અલગથી પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરાના ભાયલીમાં અસહ્ય દુર્ગંધ:GPCB દ્વારા 24 કલાક એર મોનિટરિંગ શરૂ કરાયું
વડોદરાના ભાયલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ અંગે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 24 કલાક માટે એર મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ દુર્ગંધને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર અને રાત્રિના સમયે દુર્ગંધ વધુ તીવ્ર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. GPCB દ્વારા ગોઠવવામાં આવેલી આ સિસ્ટમ દ્વારા ભાયલી વિસ્તારમાં હવાની ગુણવત્તા (AQI)ની સતત તપાસ કરવામાં આવશે. આ મોનિટરિંગ દરમિયાન હવામાં રહેલા પ્રદૂષક તત્વોનું માપન કરીને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે, જેથી દુર્ગંધના સ્ત્રોત અને કારણો શોધી શકાય.
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં આગની મોટી દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ કટકારી છે. આગની ઘટનાને ધ્યાનમાં રાખીને કંપનીની સમગ્ર પ્રિમાઇસીસ તાત્કાલિક અસરથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ સાથે જ હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જેમાં રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપની સહિત પ્લાયવુડની ફેક્ટરી તેમજ ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે જને લઇને આસપાસમાં આવેલી અન્ય જગ્યાઓ પણ લપેટમાં આવી ગઇ હતી. તેને કાબૂમાં લેવા માટે 30થી વધુ ફાયર ફાઈટરોને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ગુજરાત ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન રૂલ-2025 હેઠળ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. વિભાગે કંપનીને તમામ કામગીરી બંધ રાખવા અને જરૂરી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ ઘટનાને લઈને કંપનીમાં કાર્યરત તમામ કામદારોના નિવેદનો લેવામાં આવશે. સાથે જ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. જેથી આગ લાગવાની સાચી કારણોની માહિતી મેળવી શકાય. વિભાગ દ્વારા કંપનીને ખાસ કરીને આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ ઉપરાંત કંપનીને સેફટી ઓડિટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ તમામ રિપોર્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને સોંપ્યા બાદ જ કંપનીને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ બુધવારે બપોરે 1 વાગ્યે હોજીવાળા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 2 બેન્સો મિલ, એથર ઇન્ડસ્ટ્રીના કેમિકલ સ્ટોરેજ ગોડાઉન અને અન્ય એક એકમમાં આગ લાગી હતી. આગની ઘટના અંગે ઇન્ડસ્ટ્રિયલ સેફટી વિભાગ, લેબર વિભાગ, વિધુત નિરીક્ષક અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા SMC, સચિન નોર્ટિફાઇડ અને સચિન ઉધોગનગર સહકારી મંડળી લિ.ના હોજીવાલા ફાયર સ્ટેશનના અધિકારીઓ પાસે અહેવાલ માંગવામાં આવ્યો હતો. હોજીવાલા એસ્ટેટના હોજીવાલા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલા પ્લોટ નંબર સી-24/9, રોડ નં.2 અને પાછળના ભાગે રોડ નં.1માં અમને ફાયર લાગવાનો કોલ આશરે 1 વાગ્યાના સમયે મળ્યો હતો. આ અંગેનો કોલ મળતાં અમો અમારા ફાયર ટેન્કરના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. દરમિયાન અમને રોડ નં.1ના એથર કંપનીના ગોડાઉનની સામે હાજર રહેલી વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે, રસ્તા ઉપર આવેલા ટ્રાન્સફોર્મર પાસેના રોડ પરથી આગ લાગી છે, અને ત્યાંથી આગ આપના પ્લોટ નંબર સી-24/9 કે જ્યાં ગોડાઉન આવેલુ છે ત્યાં આગ પ્રસરેલી જણાઈ હતી. આથી આ બાબતની નોંધ લઈને અમ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. એથર ઇન્ડસ્ટ્રીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીને ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ અમારા વેરહાઉસના પાછળના ભાગે આવેલા રોડ નં.1 પરના ડીજીવીસીએલના કોમન ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ અમારા વેરહાઉસ અને બાજુની અન્ય કંપની સુધી પ્રસરી હતી. જેના લીધે માલસામાનનું નુકસાન થયું હતું. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તથા કોઈપણ વ્યક્તિને શારીરિક ઈજા પણ થઈ નથી. એથર ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ આ આગ લાગવાના કારણ અંગે અન્ય કોઇ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા કે અન્ય કોઈ કંપની પર દોષારોપણ કરતી નથી. આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. કંપની દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક અહેવાલોમાં બોઈલર બ્લાસ્ટ થયો હોવાની જે વાત વહેતી થઈ છે તે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. જે સ્થળે આગ લાગી હતી તે માત્ર એક વેરહાઉસ છે અને ત્યાં કોઈ બોઈલર રાખવામાં આવતું નથી. બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે પણ એથર ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે, વેરહાઉસમાં પતરાનો કોઈ ડોમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ ફરતી બાજુએથી ખુલ્લો છે અને માત્ર પતરાની છત લગાવવામાં આવી હતી. ઘટના સ્થળનાં CCTV ફૂટેજ ફાયર એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે જે એમાં બધું સ્પષ્ટ જણાઈ આવે છે.
મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં મહિલા સહિત આઠ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે મૃતક વૃદ્ધાના ઘરમાંથી મળેલી સુસાઈડ નોટના આધારે કાર્યવાહી કરી હતી. આ ઘટના મોરબીના બાયપાસ રોડ પર આવેલા ડિવાઇન પાર્કના સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતાં મૃતકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. નોટમાં વૃદ્ધાએ ઉલ્લેખ કર્યો હતો કે એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલા સહિત આઠ વ્યક્તિઓ તેમને ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતા હતા, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. મૃતકના દીકરા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયાની ફરિયાદના આધારે પોલીસે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન (તમામ રહે. સત્ય બી એપાર્ટમેન્ટ, મોરબી) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુસાઈડ નોટમાં સવિતાબેને લખ્યું હતું કે આરોપીઓ તેમને અને તેમના પરિવારને વારંવાર ધાકધમકીઓ આપતા હતા અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૪ માં આરોપીઓએ પાર્કિંગની સફાઈ બાબતે તેમની માતા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ સમાધાનના બહાને અગાસી પર બોલાવી ફરિયાદી અને તેમની માતાને માર મારવામાં આવ્યો હતો, જે અંગે ત્યારે પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીઓ દ્વારા હેરાનગતિ ચાલુ રહેતા સવિતાબેને આપઘાત કર્યો હતો. મોરબીના DYSP જે.એમ. આલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી કે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે.
આણંદ જિલ્લામાં એલપીજી ગેસ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા મામલતદારોનો સમાવેશ થાય છે. આ ટીમો દ્વારા ગેસ એજન્સીઓ અને સંગ્રહસ્થાનો પર આકસ્મિક તપાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે આણંદ જિલ્લામાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાશે નહીં અને સમયસર ગેસ ઉપલબ્ધ થશે. જો કોઈ ગેસ એજન્સી સિલિન્ડર આપવામાં આનાકાની કરે અથવા કાળાબજારી કે સંગ્રહખોરી ધ્યાને આવે, તો ગ્રાહકોને તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી અથવા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં
સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.… 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ચોટીલામાં 'ચોટીલા ઉત્સવ 2026' યોજાયો:ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ સાથે ભક્તિ અને લોક સંસ્કૃતિનો સંગમ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય 'ચોટીલા ઉત્સવ 2026' પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર યોજાયો હતો. જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં લોકસાહિત્ય અને ભક્તિ સંગીતનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા માત્ર શક્તિધામ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તાજેતરમાં જ અહીં તેમની યાદમાં સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 11 મહત્વના યાત્રાધામોમાં બે દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરાયું છે. સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકકલાઓ અને કલાકારોને મંચ પૂરો પાડી આપણી વિરાસતને જીવંત રાખવાનો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણીએ આ માટીની સુગંધ વિશ્વભરમાં ફેલાવી છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે જન્મભૂમિ પર ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવી એ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કલાના સંવર્ધન માટે હંમેશા પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી નવીન પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, આધુનિક શૈલી થકી મેઘાણીજીના જીવન-કવન અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે, જે આપણા ભવ્ય વારસા, દુહા-છંદ અને લોકસાહિત્યના ગૌરવશાળી ઇતિહાસ સાથે તેમને જોડે છે. ઉત્સવના બીજા દિવસે સિદ્દી ધમાલ અને ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે તથા નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કલાકારોએ મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો. આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ, તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ચોટીલા મંદિરના મહંત લાલબાપુ, અવિનાશબાપુ, નિરંજન બાપુ, અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર, તેમજ ચોટીલા અને થાનગઢના મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજબિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજબિલની રકમ બાકી છે તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે (13 માર્ચે )આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 23 સબ ડિવિઝનમાં 480 ટીમો કામે લાગીવડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. સ્થળ ઉપર જ બિલ ભરવાની વ્યવસ્થાકંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે તેમછતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. વીજ ગ્રાહકોને ત્વરિત બિલ ભરવા અપીલમધ્ય ગુજરાત વીજ કંપનીના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન.થાણાવાલાએ જણાવ્યું હતું કે, શહેર વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે તેવામાં વીજ કંપની દ્વારા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું રેન્કિંગ હોય છે એમાં આ એક ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે કે 31 માર્ચના અંતે કેટલા પૈસા બિલના બાકી છે. એ હેતુથી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય તે માટે આ ડ્રાઈવ રખાઈ છે. વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં એવા કોઈ વિસ્તાર નથી જ્યાં વસૂલાતમાં તકલીફ પડતી હોય. અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવી તકલીફ પડતી હોય છે પણ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. તેઓએ ઉમેર્યું હતું કે, આ ડ્રાઈવ એક દિવસ માટે છે.
આણંદ શહેરમાં જેકે લોટસ પાર્ટી પ્લોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ વિભાગની ટીમે બિનપરવાનગીથી કરાયેલું બાંધકામ તોડી પાડ્યું હતું. અગાઉ, આ પાર્ટી પ્લોટ પાસે બિલ્ડિંગ યુઝ (BU) અને ફાયર સેફ્ટીની જરૂરી પરવાનગીઓ ન હોવાથી મનપાએ નોટિસ ફટકારી તેને સીલ કર્યું હતું. આ મામલે સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે સંચાલકોને 1 માર્ચ 2026 સુધીમાં જરૂરી પરવાનગીઓ મેળવી લેવા માટે મુદત આપી હતી. જોકે, કોર્ટ દ્વારા અપાયેલી મુદત પૂર્ણ થવા છતાં અને મનપા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સંચાલકોએ કોઈ પરવાનગીના પુરાવા રજૂ કર્યા નહોતા. હાઈકોર્ટનો સ્ટે હટતા જ મહાનગરપાલિકાએ કાયદાની કલમ 260 હેઠળ આખરી નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા, મનપાની ટીમે સ્થળ પર પહોંચીને અનઅધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું. મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં કાયદાના પાલન અંગે ગંભીરતાનો સંદેશ પહોંચ્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી સાથે થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહ્યા છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ અને ઠંડા પીણાંનો આશ્રય લઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, તંત્રએ લોકોને વધુ પાણી પીવા, સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવા જણાવ્યું છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
હિંમતનગરના 6 વોર્ડમાં સેવાસેતુનો પ્રારંભ:આયુષ્યમાન, આધાર કાર્ડ, આવકના દાખલા માટે વધુ અરજીઓ
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વહીવટમાં પારદર્શિતા વધારવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 1, 3, 4, 5, 6 અને 7 માટે આ કાર્યક્રમ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ સેવાસેતુમાં સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા માટે આવ્યા હતા. આ ઉપરાંત, ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અરજીઓનો સ્થળ પર જ ગુણદોષના આધારે નિકાલ કરવાનો છે, જેથી લાભાર્થીઓને એક જ દિવસમાં કાર્ડ સહિતનો લાભ મળી શકે. આ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આવક, આધારકાર્ડ, ક્રિમિલેયર અને મહેસૂલ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે. રેશન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, માઁ અમૃતમ્ યોજના, માઁ વાત્સલ્ય યોજના, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો માટેની અરજીઓ પણ લેવામાં આવી હતી. વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજનાઓ માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. શહેરી ગરીબો માટે DAY-NULM અંતર્ગત કૌશલ્ય વર્ધક તાલીમ, સ્વરોજગાર કાર્યક્રમ અને સખીમંડળ રચના જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. નગરપાલિકા કક્ષાની સેવાઓ જેવી કે, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક પણ ઉપલબ્ધ હતી. બેંકની યોજનાઓ અને મેડિકલ હેલ્થ કેમ્પ (ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરનું મફત ચેકઅપ) પણ આ કાર્યક્રમનો ભાગ હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ માટે રાજ્યસભામાં વિધાનસભાના ગઠનનો મુદ્દો શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ઉઠાવ્યો છે. તેમણે સદનમાં જણાવ્યું કે આ વિશાળ કેન્દ્રશાસિત પ્રદેશની જનતા લાંબા સમયથી લોકતાંત્રિક અધિકારોની માંગ કરી રહી છે. રાઉતે કહ્યું કે, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લાખો લોકો વિધાનસભાની રચના અને 'અધિકારી રાજ'માંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશનો કોઈ સભ્ય રાજ્યસભામાં પણ નથી, જેના કારણે તેમનો અવાજ ઉચ્ચ સદનમાં પહોંચી શકતો નથી. વર્ષ 2014માં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના ગઠનની ભલામણ કરી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ ગૃહ મંત્રાલય અને રાજ્યસભાને પણ સુપરત કર્યો હતો. જોકે, બાર વર્ષ વીતી ગયા હોવા છતાં, આ ભલામણ પર કોઈ કાર્યવાહી થઈ નથી. વિધાનસભાના અભાવે આ વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જેમ કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો, શક્તિહીન બની ગયા છે. તમામ સત્તા વહીવટી અધિકારીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે, જેઓ સ્થાનિક પ્રતિનિધિઓને પૂછ્યા વિના પોતાના નિયમો બનાવે છે. રાઉતે પ્રશ્ન કર્યો કે, જ્યારે સિક્કિમ, ગોવા અને પુડુચેરી જેવા નાના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો, જેમની પાસે એક કે બે લોકસભા બેઠકો અને મર્યાદિત મહેસૂલ છે, તેમને વિધાનસભાનો દરજ્જો મળી શકે છે, તો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને આ અધિકાર કેમ નહીં? આ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો છે, તેનું મહેસૂલ નાના રાજ્યો કરતાં વધુ છે અને વસ્તી પણ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અગાઉ પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલો આ પ્રદેશ આઝાદીના આટલા વર્ષો પછી પણ 'અધિકારી રાજ'ના ચુંગાલમાં ફસાયેલો છે. સંજય રાઉતે માંગ કરી છે કે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લોકોને લોકશાહીનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ અને તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં ન આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પોન્ડીચેરી,સિક્કિમ,ગોવા,જેવા રાજ્યને વિધાનસભાનો દરજ્જો આપવામા આવે તો દાદરા નગર હવેલી અને દમણ દીવને કેમ નહિ?
અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથીક ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેસબુક પર મિત્રતા કેળવી પાલનપુર બોલાવ્યાઆ ઘટનાની વિગતો મુજબ આરોપી આરતી ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જર દ્વારા ફરિયાદી ડોક્ટર સાથે સંપર્ક વધાર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ ગત 12 માર્ચ, 2026ના રોજ આરતીએ ડોક્ટરને મળવા માટે પાલનપુર બોલાવ્યા હતા. પાલનપુરની લિજેન્ડ હોટલમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં આરતીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવી ફોટા પણ પડાવ્યા હતા.ત્યારબાદ તેણે મહેસાણા જવાનું બહાનું કરી ડોક્ટરની ગાડીમાં સાથે નીકળી હતી. હાઇ-વે પર ફિલ્મી ઢબે અપહરણ અને લૂંટપાલનપુરથી મહેસાણા તરફ આવતી વખતે મોટી દાઉના પાટિયા પાસે આરતીએ તબિયત લથડવાનું નાટક કરી ગાડી ઊભી રખાવી હતી. પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડી ઉભી રહેતા જ તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ડોક્ટર પર હુમલો કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેમને પાછળની સીટ પર બેસાડી દીધા હતા. આરોપીઓએ ડોક્ટરને ધમકી આપી હતી કે, જો તેઓ 10 લાખ રૂપિયા નહીં આપે તો તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ દરમિયાન તેમનો 50 હજારની કિંમતનો આઇફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો. પોલીસ પેટ્રોલિંગને કારણે ડૉક્ટર બચ્યાઆ ગુનાહિત પ્રવૃત્તિ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. હાઈ-વે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી ગાડી જોઈને પોલીસે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તાલુકા પી.આઈ. ડી.આર. રાઓના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડોક્ટરને મુક્ત કરાવ્યા હતા અને આરોપીઓને ઝડપી લીધા હતા. 7 આરોપીઓ સામે ગુનો દાખલપોલીસે આ મામલે આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. પાલનપુર), મોહમદ ફૈઝલખાન પરમાર, સરીફ ઇદ્રીશભાઇ બેલીમ, સમીરખાન અસરફખાન મલેક, આફતાબખાન સલીમખાન અબ્બાસી, સોહિલકુમાર સલીમભાઇ કુરેશી અને સમીરખાન રફીકભાઇ સંધી સામે ગુનાહિત કાવતરું, અપહરણ, મારપીટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
DRUCC બેઠકમાં વેરાવળ મુદ્દાઓ પર ચર્ચા:મુસાફરોની સુવિધાઓ સુધારવા અને નવી ટ્રેનો માટે સૂચનો રજૂ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા કરવાનો હતો. બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો. તેમણે ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કરતા ભાવનગર મંડળમાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા સ્ટેશનો વિશે માહિતી આપી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર મંડળની વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો અને તાજેતરની સિદ્ધિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પૂરી પાડવી એ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ અને મુસાફર સુવિધાઓમાં કરાયેલા સુધારાઓની જાણકારી અપાઈ. સમિતિના સભ્યોએ તેમના વિસ્તારો સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોનું સંચાલન, લંબિત પ્રોજેક્ટોની વહેલી પૂર્ણતા અને સ્ટેશનો પર મુસાફર સુવિધાઓ માટે સૂચનો રજૂ કર્યા. વેરાવળના સભ્ય અનિષ એન. રાચ્છે વેરાવળ સ્ટેશનના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી. જેમાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર લિફ્ટ, એક્સીલેટર સીડીની સુવિધા, યાત્રાધામ સોમનાથથી લાંબા અંતરની નવી ટ્રેનની માંગણી, રાજકોટ-વેરાવળ ફાસ્ટ ટ્રેનની માંગણી, તેમજ ફ્લાયઓવર બ્રિજ અને ફૂટઓવર બ્રિજ સહિતની સ્થાનિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના સભ્યોમાં એડવોકેટ કિરણ એમ. ગાંધી, બૈજુ એસ. મહેતા, મહેન્દ્ર શાહ, ઉપેન્દ્રભાઈ જાની, પ્રદીપભાઈ એચ. દેસાઈ, પારસભાઈ સી. શાહ, ડૉ. આર.સી. ગુપ્તા (તમામ ભાવનગર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), અનિષ એન. રાચ્છ (વેરાવળ), જિગ્નેશ કારિયા (પોરબંદર) તથા એસ. એ. સિંહ (અધીક્ષક ઇજનેર, ગાંધીનગર) હાજર રહ્યા હતા. બેઠકના અંતે અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સૂચનો અને રજૂઆતો પર વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી.
જામનગરમાં રંગમતી નદી સ્વચ્છતા માટે જનજાગૃતિ રેલી:DLSA, હોમગાર્ડઝ અને JMCનું સંયુક્ત અભિયાન
જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ સમાન રંગમતી નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને તેની સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ (DLSA), હોમગાર્ડઝ અને જામનગર મહાનગરપાલિકા (JMC) ના સંયુક્ત ઉપક્રમે આ ‘સ્વચ્છતા સંદેશ’ રેલી યોજાઈ હતી. આ જાગૃતિ રેલી શહેરના આદર્શ સ્મશાન પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરીને સિધ્ધનાથ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નદીમાં કચરો ફેંકતા અટકાવવાનો અને જામનગરના નાગરિકોને નદી પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીનું ભાન કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ નદીના અસ્તિત્વને બચાવવા માટે મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. DLSA ના સચિવ અનિકેત શુક્લાએ જણાવ્યું હતું કે રંગમતી નદી જામનગરની શાન છે અને તેનું ભવિષ્ય અંધકારમય ન બને તે જોવાની જવાબદારી સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે કાનુની સેવા સત્તા મંડળ આ કાર્ય માટે કટિબદ્ધ છે. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડઝના જવાનોને આ સેવામાં જોડીને લોકોને નદી સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરી હતી. આ રેલીમાં DLSA ના સચિવ, પેરા લીગલ વોલન્ટીયર્સ અને એડવોકેટ મિત્રો, હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ તેમજ JMC ના સફાઈ વોરિયર્સ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રંગમતી નદીને ગંદકીથી બચાવવી એ માત્ર તંત્રનું જ નહીં, પરંતુ દરેક જામનગરવાસીનું કર્તવ્ય છે.
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર: ચાવડાકોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. ‘વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થતાં પેટ્રોલિયમ-ગેસ સપ્લાય મુદ્દે દેશને નુકસાન’અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી જનતાને રાહત મળે. ‘આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે’તેમણે ચેતવણી આપી હતી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે તરસમિયા રોડ ખોડીયારનગર વિસ્તારમાં રહેણાંક મકાન સામે નંબર પ્લેટ વગરની પાર્ક કરેલી કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની 284 બોટલ વિદેશી દારૂ તથા કાર મળી કુલ 8.65 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન શખસ હાજર નહીં મળી આવતા સમગ્ર મામલે શખસ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદેશી દારૂની 284 બોટલો અને ફોર વ્હીલ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોઆ અંગે પેરોલ ફર્લો સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાન વાડી, ખોડીયારનગર, ખારશી વિસ્તાર, તરસમીયા રોડ, ભાવનગર તેની હયુન્ડાઇ કંપનીની નંબર પ્લેટ વગરની વેન્યુ ફોરવ્હીલ કારમાં ગેરકાયદે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે અને તે દારૂ ભરેલ ફોરવ્હીલ કાર તેના રહેણાંક મકાનની સામે જાહેર રોડ પર પાર્ક કરી છે. પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરીબાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં રાજુભાઇ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ શખસ હાજર મળી આવ્યો ન હતો. જેથી, પોલીસે તેની ફોરવ્હીલ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 284 બોટલો 2,65,230 અને ફોરવ્હીલ કાર 6,00,000 મળી કુલ 8,65,320 સહિતનો મુદ્દામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ રહે, હનુમાનવાડી, ખોડીયારનગર, તરસમીયા રોડ, ભાવનગર વિરૂદ્ધ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છોટા ઉદેપુર જિલ્લામાં ઈકો ગાડીઓની છત પર જીવ જોખમે મુસાફરી કરતા લોકોના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ગાડીઓની છત પર સામાન, બાઈક અને મુસાફરો બેઠેલા જોવા મળે છે. છોટા ઉદેપુર આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ગુજરાતના કચ્છ તથા કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય છે. હોળી આસપાસ ખેતીની સિઝન પૂરી થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે. આ મજૂરો ઘણીવાર જીવનું જોખમ ખેડીને વાહનો પર બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ચારોલા અને નર્મદા કેનાલ પાસે આવા બે ઈકો ગાડીના વીડિયો સામે આવ્યા છે. આ ગાડીઓમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરેલા હતા અને છત પર સામાન, બાઈક મૂકીને તેના પર પણ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા વાહનો દરરોજ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. એવું લાગે છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારી પોતાની 13 વર્ષની દીકરીની આંખની સારવાર માટે નવી મુંબઈ ગયા હતા, ત્યારે જ સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વાશીની હોટલમાં રોકાયેલા વસીમ ખાનને પાકિસ્તાની નંબર પરથી વ્હોટ્સએપ કોલ કરી ગેંગના સાગરીતે કોર્ટ કેસમાં સાક્ષી તરીકે ન જવા અને રૂ. 50 લાખની ખંડણીની માંગણી કરતા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગેંગના સાગરીતે તારી સિસ્ટમ બેસાડી દઈશું કહી ધમકી આપતા સુરત અને મુંબઈ પોલીસ હરકતમાં આવી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા આ ધમકીભર્યા કોલ અને ઓડિયો ક્લિપના પુરાવાએ વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે. મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયુંફરિયાદી વસીમ યુસુફ ખાન (ઉં.વ. 36), જેઓ સુરત રેલવે સ્ટેશન પર પેડા પાર્કિંગનો વ્યવહાર સંભાળે છે, તેઓ ગત ફેબ્રુઆરી માસમાં પોતાની 13 વર્ષની દીકરી આકિફાની આંખની સારવાર માટે નવી મુંબઈની 'શ્રીધરીયમ આયુર્વેદિક આઈ ક્લિનિક' ખાતે ગયા હતા. તેઓ વાશી વિસ્તારની 'લેમન ટ્રી પ્રીમિયર' હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન 18 ફેબ્રુઆરીના રોજ બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયું હતું. ઓડિયો ક્લિપમાં કેદ થયો ગેંગનો આતંક: '50 લાખ મિનિમમ તૈયાર રાખજે'સદામ ગેંગ સામે ફરિયાદ કરનાર વસીમ ખાને હિંમત બતાવી આ સમગ્ર ધમકીભર્યા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, જે હવે પોલીસ માટે મહત્ત્વનો પુરાવો બન્યો છે. કોલ કરનાર શખ્સે અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, 'તેં સાહીદ ગોડીલ અને સદ્દામને બહુ હેરાન કર્યા છે. હવે તારી આખી સિસ્ટમ અમે બેસાડી દઈશું. તારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા તો આપવા જ પડશે, આ છેલ્લી ચેતવણી છે.' આ વાતચીત સાંભળતા જ સુરત અને મુંબઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. FIR મુજબ ધમકીનો શબ્દશઃ સંવાદ આ મુજબ હતો:અજાણ્યો કોલર: ‘હેલો, હેલો અરે બોલ તો સહી, તું કોણ બોલી રહ્યો છે?’ વસીમ (ફરિયાદી): ‘હેલો, વસીમ વાત કરી રહ્યો છું, તમે કોણ?’ અજાણ્યો કોલર: 'મને છોડ, જે પણ વાત કરી રહ્યો છે, તું સાહીદ અને સદ્દામને બહુ પરેશાન કરી રહ્યો છે. તું તેની કોર્ટની તારીખ પર કેમ જાય છે? મેં કહ્યું ને, તું સાહીદ-સદ્દામને બહુ પરેશાન કરે છે. તું હવે તૈયાર રહેજે અને પૈસા પણ તૈયાર રાખજે, સમજાયું?' વસીમ: ‘શેના પૈસા?’ અજાણ્યો કોલર: ‘એ તને બતાવી દઈશ. મેં આખી સિસ્ટમ લગાવી દીધી છે અને તે જે ફૈઝલભાઈને પરેશાન કર્યા છે ને, તે પણ આવી રહ્યો છે. તારી આખી સિસ્ટમ લગાવી દેશે. થોડા દિવસ સતર્ક રહેજે. તારીખ પર જવાનું છે, હું તને કહીશ.’ વસીમ: ‘પણ શેના પૈસા?’ અજાણ્યો કોલર: 'તેં જે લોકોને હેરાન કર્યા છે ને, એના પૈસા તારે આપવા પડશે.મિનિમમ 50 લાખ રૂપિયા તૈયાર રાખજે, પછી કહેતો નહીં કે જણાવ્યું નહોતું.' સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગનો ગુનાહિત ઇતિહાસ અને ગુજસીટોકસાહીદ શબ્બીર ગોડીલ અને સદ્દામની ગેંગ સુરતમાં વર્ષોથી સક્રિય છે અને તેમના પર અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્ત્વે જમીન પચાવી પાડવી, છેતરપિંડી અને મોટા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું કામ કરે છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત પોલીસ દ્વારા અગાઉ તેમના પર GUJCTOC (ગુજસીટોક) જેવો કડક કાયદો પણ લાદવામાં આવ્યો છે. છતાં પણ જેલની અંદર કે બહારથી તેમનું નેટવર્ક હજુ પણ કાર્યરત હોવાનું જણાય છે. ખંડણી માટે ક્રિપ્ટોકરન્સી અને GST કૌભાંડનો ઉપયોગઆ ગેંગ પરંપરાગત ગુનાઓ છોડીને હવે આધુનિક રીતે આર્થિક ગુનાઓ આચરી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેઓ વેપારીઓને ડરાવીને ખંડણીની રકમ USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં માંગતા હોય છે જેથી પોલીસ નાણાકીય વ્યવહારો શોધી ન શકે. આ ઉપરાંત, આંતરરાજ્ય GST કૌભાંડમાં પણ આ ગેંગના સભ્યોની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. મુંબઈમાં નોંધાયેલી આ નવી ફરિયાદ બાદ હવે તેમના આર્થિક સામ્રાજ્ય પર પણ પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી શકે છે. ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસવસીમ ખાન સુરતની કોર્ટમાં સાહીદ ગોડીલ વિરુદ્ધના કેસમાં નિયમિત હાજરી આપતા હોવાથી ગેંગ તેમને રસ્તામાંથી હટાવવા માંગે છે. ધમકી આપનાર વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'તું રોજ તારીખ પર જઈને કોર્ટમાં કેમ ઉભો રહી જાય છે?' આના પરથી સાબિત થાય છે કે ગેંગ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરીને સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ મુંબઈ પોલીસે ફરિયાદી અને તેમના પરિવારની સુરક્ષા વધારવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવી મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ તેજ કરીઆ આખી ઘટના નવી મુંબઈના વાશી વિસ્તારમાં બની હોવાથી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય નંબરની તપાસ શરૂ કરી છે, જે પાકિસ્તાનનો કોડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સુરત SOG અને ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસમાં સક્રિય થઈ છે અને જેલમાં બંધ સાહીદ ગોડીલની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતના વેપારી આલમમાં પણ આ ઘટનાને લઈ ભારે ફફડાટ છે.
એવું કહેવાય છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને સુરતના એક વૃદ્ધે અક્ષરશઃ સાચી સાબિત કરી દીધી છે. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના બંડારી ઉપ્પલૈયા પુલ્લૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નિવૃત્તિની ઉંમરે પરીક્ષા ખંડમાં બેસીને પેન ચલાવતા ઉપ્પલૈયા દાદા આખી શાળા અને શહેર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોણ છે બંડારી ઉપ્પલૈયા? અધૂરા સપનાની સફરવર્ષો પહેલા પારિવારિક જવાબદારીઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો. જોકે, મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે તેઓ વિધિવત રીતે ભણે અને ખાસ કરીને જે ભૂમિ પર રહે છે, તેની માતૃભાષા ગુજરાતીમાં નિપુણતા મેળવે. આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે 65 વર્ષે ફરીથી કલમ પકડી છે. યોગીચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં અનોખો નજારોપરીક્ષાના દિવસે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના પેપરની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉપ્પલૈયા દાદા પોતાની બેન્ચ પર શાંતિથી બેસીને ગુજરાતીનું પેપર લખી રહ્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંચાલક ભરતભાઈએ દાદાના આ સાહસને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉપ્પલૈયાજીનો આ પ્રયાસ માત્ર પરીક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન પ્રત્યેની તેમની અખૂટ ભૂખ દર્શાવે છે. ગુજરાતી વિષય પ્રત્યેનો પ્રેમ અને લગન65 વર્ષની વયે નવી ભાષા શીખવી અને તેની પરીક્ષા આપવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ બંડારી ઉપ્પલૈયા એ સાબિત કર્યું કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ભાષા કે ઉંમર ક્યારેય આડે આવતી નથી. તેમણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના ઉત્તરો જે રીતે લખ્યા, તે તેમની મહેનતની ચાડી ખાય છે. શાળાના સ્ટાફે પણ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા હતા. ‘દાદા ભણી શકે તો અમે કેમ નહીં?’આ ઘટનાની સૌથી મોટી અસર શાળાના યુવા વિદ્યાર્થીઓ પર પડી છે. પરીક્ષાના ટેન્શનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંડારી ઉપ્પલૈયા એક જીવતું-જાગતું ઉદાહરણ બન્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમને દાદાને જોઈને ઘણું શીખવા મળ્યું છે. ઘણીવાર અમે નાની નિષ્ફળતાથી હારી જઈએ છીએ, પણ દાદાએ 65 વર્ષે જે જુસ્સો બતાવ્યો છે તે અવિશ્વસનીય છે. આ પ્રસંગે શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સમાજ માટે મજબૂત સંદેશબંડારી ઉપ્પલૈયા પુલ્લૈયા એ માત્ર પરીક્ષા નથી આપી, પણ સમાજના એ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો છે જેઓ ઉંમર થઈ ગઈ હોવાનું બહાનું કાઢીને શીખવાનું છોડી દે છે. શિક્ષણ એ કોઈ ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી, પણ વ્યક્તિત્વના વિકાસ માટે અનિવાર્ય છે. સુરતના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી છે અને લોકો દાદાની હિંમતને સલામ કરી રહ્યા છે.
વાપી GIDCમાં ખાણી-પીણીની દુકાનો પર આકસ્મિક ચેકિંગ:ઘરેલુ ગેસનો કોમર્શિયલ ઉપયોગ કરતા 5 સિલિન્ડર સીઝ
વાપી GIDC વિસ્તારમાં ખાણી-પીણીની દુકાનો પર અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ કરતા પાંચ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. ગેસની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘરેલુ ઉપયોગ માટે ફાળવવામાં આવતા ગેસ સિલિન્ડરનો વ્યાપારીક હેતુ માટે ઉપયોગ કરવો નિયમો વિરુદ્ધ છે. આ નિયમભંગ બદલ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ગેસની વર્તમાન અછતને ધ્યાનમાં રાખીને આવી આકસ્મિક તપાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલુ ગ્રાહકોને પૂરતો ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવાનો અને ગેસના ગેરવપરાશ પર નિયંત્રણ મેળવવાનો છે.તપાસ પૂર્ણ થયા બાદ, તમામ વેપારીઓને નિયમોનું કડક પાલન કરવા અને ઘરેલુ ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ ન કરવા અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડોને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી તેમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે. વન વિભાગની આ પહેલથી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે મોટી રાહત સર્જાઈ છે. આ અંગે માહિતી આપતા સહાયક વન સંરક્ષક (ACF) પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેરાવળ રેન્જ હેઠળ સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 20થી વધુ સિંહોનો સમૂહ વસવાટ કરે છે, ઉપરાંત દીપડા સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ 8 પોઈન્ટમાંથી 5 પાણીના પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, જ્યારે 2 પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી (વિન્ડ મિલ) મારફતે ભરવામાં આવે છે. ACF પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં આવા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવાથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ન બને તે માટે આ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વન વિભાગ દ્વારા આ પાણીના પોઈન્ટની નિયમિત દેખરેખ, સફાઈ અને પાણી ભરવાની કામગીરી માટે ખાસ બે કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. વન વિભાગના આ પ્રયાસોથી ઉનાળાની કઠિન ઋતુ દરમિયાન ગીર વિસ્તારના વન્યજીવોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં તેણે લગ્ન બાદ મળી રહેલી ગંભીર ધમકીઓ અને વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા છે. કિંજલ રબારીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદ તેમજ સુરક્ષાની માંગ કરી છે. લગ્ન બાદ મળી રહી છે મારી નાખવાની ધમકીઓ ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલ રબારીએ એક વીડિયો દ્વારા પોતાના લગ્નની જાણકારી આપી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિંજલે આક્ષેપ કર્યો છે કે તેને મારી નાખવાની કે અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેણે સ્પષ્ટ કર્યું કે લગ્નનો નિર્ણય તેની અંગત પસંદગી છે અને તે પોતાની મરજીથી સાસરે ગઈ છે, તેથી કોઈને પણ તેની અંગત જિંદગી પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. સમાજના બેવડા ધોરણો સામે રોષ કિંજલ રબારીએ આક્ષેપ કર્યો કે જ્યાં સુધી તે કમાણી કરીને પરિવાર અને સમાજને આર્થિક રીતે મદદ કરતી હતી, ત્યાં સુધી તે સૌ માટે આદર્શ હતી. પરંતુ જ્યારે તેણે પોતાના જીવનનો એક અંગત નિર્ણય લીધો, ત્યારે તેને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે કોઈ દીકરો બીજા સમાજની દીકરીને પરણીને લાવે ત્યારે તેને સ્વીકારી લેવાય છે, પરંતુ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યારે જ વિરોધ કેમ? દીકરીઓ પર પ્રતિબંધ મૂકવાની માનસિકતા પર પ્રહાર વીડિયોમાં કિંજલે જણાવ્યું કે સમાજના કેટલાક લોકો દીકરીઓ માટે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યા છે. તેણે સમાજને વિનંતી કરી છે કે લડવાને બદલે સમજદારી અને એકતા જાળવે. આ સાથે જ તેણે ધમકી આપનારા તત્વો સામે નમવાને બદલે કાયદાકીય લડત આપવાની મક્કમતા દર્શાવી છે. સિંગર કિંજલ રબારીનો શબ્દશ: સંદેશકાલે મેં એક વીડિયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે—'મારી નાખીશું', 'ઉપાડી જઈશું'. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું પણ મૂક્યું છે સમાજવાળાઓએ કે—'ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું.' તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે? મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ (સ્વીકાર્ય) હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરોધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો એ બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ (વિનંતી) હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ (પસંદગી) છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. સિંગર કિંજલ રબારી વિવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદમાં ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે… સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો આ સમાચાર પણ વાંચો કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે વાવ-થરાદના રબારી સમાજના અગ્રણીનું નિવેદન વાવ-થરાદના રબારી સમાજના અગ્રણી ઠાકરશીભાઈ રબારીએ સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્ન અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં દરેક સમાજની પોતાની મર્યાદાઓ અને બંધારણ હોય છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે…સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લીક કરો
વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ઇન્ડિયન રીયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારીમાં આગ લાગી હતી. સવારે 4:02 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જોકે, લારીની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેમ હતી. આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ સમગ્ર કામગીરીમાં વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફ રોહિતભાઈ વંશ અને વિજય કોડીયાતર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી.
ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો
સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. આ ઘટનામાં 27 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો, જેના કારણે ડુંગરો પરના વન્યજીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો કોલ ઈડર ફાયર વિભાગને મળ્યો હતો. તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ પ્રસરી હોવાથી હિંમતનગર ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઈડર ફાયર વિભાગના કમલભાઈ પટેલે જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈડર વન વિભાગના RFO ગોપાલભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.
જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના બાલવાટિકા અને ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓએ પ્રસિદ્ધ યાત્રાધામ પાળીયાદ સ્થિત ગૌશાળાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, જીવદયા અને ગૌ-સેવા પ્રત્યેના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ ગૌશાળામાં ગાયોની માવજત, તેમના ખોરાક (ઘાસચારો) અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ગાયના દૂધની ગુણવત્તા તેમજ ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ બનાવટો અને તેના આર્યુવેદિક મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગાયોને ઘાસચારો ખવડાવવાનો અનુભવ મેળવ્યો હતો અને અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવવાની પ્રેરણા લીધી હતી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો બાળકોને આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડી રાખવા માટે અનિવાર્ય છે, જે સેવાભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવામાં મદદરૂપ થાય છે. આ શૈક્ષણિક પ્રવાસમાં સંસ્થાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ગૌશાળાના સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરિસરની મુલાકાત કરાવી હતી અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી
ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તન્વી બ્લોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તન્વીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ. આગામી ૧૭ માર્ચ, ૨૦૨૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તન્વી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તન્વીની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું કે તન્વીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફ મિત્રોએ તેને આગામી નેશનલ ટુર્નામેન્ટમાં પણ વિજેતા બનીને પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ભરૂચ જિલ્લામાં આવતીકાલે, ૧૪ માર્ચે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમજ ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતેના આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે લોકોને સંબોધન કરશે. ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. આ કોમ્પ્લેક્સમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. ૧૦.૯૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કુલ રૂ. ૧૮૧ લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ડિજિટલ સુવિધાઓથી સજ્જ આદર્શ જનસેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની પોતાની આવક ઊભી થાય અને તેમાંથી જિલ્લાના વિકાસના વિવિધ કાર્યો થઈ શકે તે હેતુસર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં નર્મદા નદી કિનારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ સાથે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, જિલ્લા પંચાયત સામે આવેલી એસબીઆઈ બેંકની જગ્યા પર આધુનિક શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત, જંબુસર, નેત્રંગ અને રાજપારડી ખાતે પણ જિલ્લા પંચાયતના નવા કોમ્પ્લેક્સના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ, જિલ્લામાં અન્ય અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઊભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે દરિયામાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાતા બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયામાં આગ ભભૂકતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

37 C