પાટડીમાં પરમ તપસ્વી જૈન સાધુ ભગવંત આચાર્ય દેવેશ પ્રબોધચંદ્ર સૂરી મહારાજનું આગમન થયું છે. પાટડી જૈન સમાજ દ્વારા તેમનું ભવ્ય સામૈયું યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પાટડીના પ્રેમચંદ અમૃતલાલ શાહ પરિવારે નવકારશીનો લાભ લીધો હતો. સુરતના રંજનબેન મનહરલાલ શાહ, મયુર શાહ અને તરુણ શાહ ખારાવાલા પરિવારે સ્વામિવાત્સલ્યનો લાભ આપ્યો હતો. આચાર્ય મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ લેવા દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૈન સમાજના ટ્રસ્ટીઓ ગુણવંત શાહ, રાજુ શાહ, અનિલ વોરા, ચેતન શેઠ સહિતના શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા.
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર ઠગની ગોરવા પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિકાર બનાવ્યા હતા અને તેમની પાસેથી નાણાં પડાવ્યા હતા. વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હરીશ જશુભાઈ ચૌહાણે મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો. પોતાની ઓફિસ મારફતે તેમણે પોતે વડોદરા મહાનગરપાલિકામાં એજન્ટ હોવાનો દાવો કરીને પ્રોસેસિંગ માટે રૂપિયાની માંગણી કરી હતી. જાન્યુઆરી 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 1.83 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપીએ મકાન ફાળવણીના ખોટા કાગળો અને પાવતી આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ ડિસેમ્બર 2025 સુધીમાં મકાન આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ સમય પસાર થયા છતાં મકાનનો કબજો ઠગ દ્વારા આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ તેમણે અને તેમના પતિ સાથે ઠગની ઓફિસ પર પહોંચતા ઓફિસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી તેમણે તપાસ કરી હતી. આ હરીશ ચૌહાણે અન્ય 15 લોકોને સાથે રૂપિયા લઇ લીધા હતા પરંતુ મકાન અપાવ્યું ન હતું. હરીશ ચૌહાણે 16 લોકોને આવાસ યોજનામાં મકાન અપાવવાનો ખોટો વાયદો કરીને તેમની પાસેથી રૂ. 40.17 પડાવી લીધી હતું અને મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો બનાવી પધરાવી દીધા હતા. વર્ષાબેન સહિત અન્ય 15 લોકોએ આરોપી હરીશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે ગોરવા પોલીસે આરોપી હરીશ ચૌહાણની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વલસાડ પોલીસમાં 10 PI અને 3 PSIની બદલી:જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવા આંતરિક ફેરબદલ
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા તથા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શુક્રવારે ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશ જારી કરાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કુલ 13 અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ ઉપરાંત, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક વિભાગમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. PI ઉપરાંત, ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની પણ બદલી કરવામાં આવી છે. જેમાં વાપી ટાઉન, ડુંગરા અને ભિલાડ પોલીસ સ્ટેશનના PSI નો સમાવેશ થાય છે. તેમને અનુક્રમે વાપી ટ્રાફિક, નાનાપોંઢા અને સરીગામ ખાતે ફરજ પર હાજર થવા આદેશ અપાયો છે. જિલ્લા પોલીસ વડાએ બદલી થયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળી, તેની જાણ કચેરીને કરવા સૂચના આપી છે.
જામનગરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા:LCBએ ગોકુલનગરમાંથી ₹6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જામનગર એલસીબી પોલીસે ગોકુલનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6,27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી સ્ટાફના અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોકુલનગર પાછળ આવેલા ખોડીયારનગર વેલનાથ મંદિર પાસે દરોડો પાડી પોલીસે 'માંગપાનું' નામનો જુગાર રમતા શખ્સોને પકડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹52,500 રોકડા, નવ મોટરસાયકલ (કિંમત ₹5,50,000) અને પાંચ મોબાઈલ ફોન (કિંમત ₹25,000) જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹6,27,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ રવજીભાઈ પરમાર (ઉં.વ. 44), ભરત પાલાભાઈ અવાર (ઉં.વ. 39), સુખાભાઈ પરસોતમભાઈ ડાભી (ઉં.વ. 31), પાંચાભાઈ ભગવાનજીભાઈ જોરીયા (ઉં.વ. 38) અને નિલેશભાઈ નારણભાઈ કરમુર (ઉં.વ. 26)નો સમાવેશ થાય છે. જોકે, આ દરોડા દરમિયાન અન્ય ચાર અજાણ્યા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ભરતભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ મયુદ્દીનભાઈ સૈયદ, ભરતભાઈ પટેલ અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગમાં વહીવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા એકસાથે આશરે 800 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે, જ્યારે 80 નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મહેસૂલી તલાટી વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપીમળતી માહિતી મુજબ, મહેસૂલ વિભાગ હેઠળ કાર્યરત કારકૂન અને મહેસૂલી તલાટી વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપી નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. લાંબા સમયથી બઢતીની રાહ જોતા કર્મચારીઓ માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. સરકારના આદેશ મુજબ, વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. અહીં ક્લિક કરી જુઓ 800 કર્મચારીઓના પ્રમોશનનું લિસ્ટ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં મોટા ફેરફારખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બદલીઓનો મુખ્ય હેતુ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને અનુભવ આધારિત માનવસંસાધનનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તલાટી અને કારકૂન કેડરમાં લાંબા સમયથી બાકી રહેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ થતાં કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયને લઈને વહીવટી તંત્રમાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જુઓ નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીનું લિસ્ટ
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાએ પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરતા પત્ની પર છેલ્લા ત્રણ વર્ષથી સિતમ ગુજારવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના રૈયાધાર 13 માળીયા ક્વાર્ટરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતા ભારતીબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ.39)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2006માં તેમણે પોતાના ફઈના દીકરા દિનેશ નાથાભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનના 19 વર્ષ દરમિયાન તેમને સંતાનમાં બે બાળકો પણ છે જો કે છેલ્લા ત્રણ વર્ષથી દિનેશભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ ભારતીબેનને થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો. પતિ આ બાબતે કોઈ દખલગીરી ન કરવા કહી અવારનવાર મારપીટ કરતો હતો. દિકરીની ધોરણ 10ની પરીક્ષા હોવાથી શાંતિ જળવાય તે હેતુથી ભારતીબેન છેલ્લા 20 દિવસથી રૈયાધાર બી-વિંગમાં રહેતા પોતાના સાસુ-સસરાના ઘરે રહેવા જતા રહ્યા હતા. દરમિયાન ગત તારીખ 18.03.2026ના રોજ રાત્રે 10.30 વાગ્યે આરોપી દિનેશ ત્યાં પહોંચ્યો હતો અને પત્નીને બળજબરીથી પોતાના ઘરે આવવા દબાણ કર્યું હતું. ભારતીબેને ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ગાળો આપી, દરવાજા પર પાટા મારી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને 'જો તું નહીં આવે તો તને ધાબા પરથી નીચે ફેંકી દઈશ' તેવી ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે ભારતીબેને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિનેશ નાથાભાઈ પરમાર વિરુદ્ધ BNS કલમ 85, 115(2), 351(3) અને 352 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દ્વારકામાં સિંધી સમાજે ચેટીચાંદ મહોત્સવ ઉજવ્યો:ભજન-કીર્તન, ભંડારા અને ભવ્ય જુલુસનું આયોજન
દ્વારકામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ મહોત્સવ સિંધી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે. મહોત્સવની શરૂઆત સવારે ભજન-કીર્તન સાથે થઈ હતી. ત્યારબાદ ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. દિવસભર મંદિર પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ છવાયેલું રહ્યું હતું. સાંજે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ જુલુસ દ્વારકાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જુલેલાલ મંદિર ખાતે પહોંચ્યું હતું, જ્યાં પૂજા-અર્ચના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ ચેટીચાંદના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે સમાજમાં એકતા, ભાઈચારો અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા શનાળા ગામ પાસે ગ્રામજનોએ શુક્રવારે સાંજે ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ નવા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકવાના કારણે થયો હતો. ગ્રામજનો જૂના મોટા સ્પીડ બ્રેકર ફરીથી મુકવાની માંગ કરી રહ્યા છે. અગાઉ શનાળા ગામ પાસે અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતો થતા હતા. આથી, કોઈપણ નિયમ વગરના ઊંચી સાઈઝના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તંત્ર દ્વારા આ જૂના સ્પીડ બ્રેકર તોડી નાખવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ નિયમ મુજબના પ્લાસ્ટિકના નાના સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હતા. જોકે, આ નવા સ્પીડ બ્રેકર નાના હોવાથી બાઇક, સ્કૂટર, કાર, ટ્રક સહિતના વાહનો ઓવરસ્પીડમાં પસાર થાય છે. આના કારણે શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે જતા ભક્તો તેમજ શાળામાં આવતા-જતા બાળકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. આથી, ગ્રામજનોએ શુક્રવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરીને અગાઉ જેવા મોટા સ્પીડ બ્રેકર ફરીથી મુકવાની માંગ કરી હતી.
સુરેન્દ્રનગરની આશરે 15 વર્ષીય સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા એક દુષ્કર્મ પીડીતા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આરોપી સામે સુરેન્દ્રનગરના મૂળી પોલીસ મથકે અને BNS અને પોક્સોની ધારાઓ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો. રીપોર્ટ મુજબ 26 સપ્તાહનો ગર્ભ અને સગીરાનું સ્વાસ્થ્ય સારું છેસગીરાની ગર્ભપાતની અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલને તેની મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેના રીપોર્ટ મુજબ સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપીમેડિકલ રીપોર્ટ સકારાત્મક આવતા ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટે સરકારી હોસ્પિટલને નિર્દેશ આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે સગીરાના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવા આદેશ આપ્યા છે. બાળકને મેડિકલ ફેસીલીટી ઉપલબ્ધ કરાશેસગીરાની ઉપર સર્જરી પહેલા તેને સર્જરી અંગે માહિતગાર કરાશે અને સર્જરીમાં રહેલા જોખમ અંગે તેની બાહેંધરી લેવામાં આવશે.જો બાળક જીવિત જન્મે તો તેને તમામ પ્રકારની મેડિકલ ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો સગીરા બાળક રાખવા માનતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
કોડીનાર શહેરમાં બિનઆરોગ્યપ્રદ ગોળનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે “જંગલેશ્વર ટ્રેડર્સ”ના ગોડાઉન પર દરોડો પાડી ₹36,800ની કિંમતના ગોળના ડબ્બા જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીથી ગીર સોમનાથ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને પોલીસ તંત્રની સક્રિયતા જોવા મળી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચના હતી કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મળેલ બાતમીના આધારે, કોડીનાર પોલીસ સ્ટેશનના સ્ટાફે ફૂડ સેફટી ઓફિસર સાથે મળીને કોડીનાર બસ સ્ટેશન પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ગોળના કુલ 91 ડબ્બા મળી આવ્યા હતા. ફૂડ સેફટી અધિકારી દ્વારા ચકાસણી કરતાં તેમાંથી 39 ડબ્બામાં રહેલો ગોળ બિનઆરોગ્યપ્રદ જાહેર કરવામાં આવ્યો હતો. આ બિનઆરોગ્યપ્રદ ગોળનું કુલ વજન આશરે 994.5 કિલો હતું. તાત્કાલિક અસરથી આ જથ્થો કોડીનાર ડમ્પિંગ યાર્ડ ખાતે લઈ જઈ નાશ કરવામાં આવ્યો હતો. બાકીના 52 ડબ્બામાંથી ગોળના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં છાછર ગામના મથુરભાઈ અમૃતલાલ જોષી (ઉંમર 37)નું નામ સામે આવ્યું છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખોરાકમાં ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થો સામે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં વર્ધમાન ઈન્ડસ્ટ્રી એરિયામાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં શ્રી ડેંગ્યુ કિલર હર્બલ અગરબત્તીની નકલી (ડુપ્લીકેટ) “સુપર ડેંગ્યુ કિલર હર્બલ” અગરબત્તી બનાવતું કારખાનું પકડાતાં ચકચાર મચી ગઈ છે. આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે મૂળ કંપનીની ફરિયાદના આધારે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. કારખાનામાંથી 1400 ખાલી ડુપ્લીકેટ બોક્સ (રૂ. 5,600), સીલિંગ મશીન (રૂ. 8,000) અને 480 પેકેટ અગરબત્તી (રૂ. 12,000) સહિત કુલ રૂ. 25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારખાનામાં ડુપ્લીકેટ પ્રોડકટનુ વેચાણ થયાની જાણ થતા ફરિયાદ નોંધાવીકંપનીના જયદીપભાઈ ભટ્ટી પોતાની ફરજના ભાગ રૂપે કંપની વતી કોપીરાઇટ હકકોના ભંગ કરતા વેપારીઓ બાબતે રાજકોટ શહેર ખાતે તપાસમાં આવતા રાજકોટ કોઠારીયા સોલવન્ટ પ્લોટ નં.32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયા કોઠારીયા ખાતે ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કંપનીની પ્રોકડટની ડુપ્લીકેટ પ્રોડકટનુ વેચાણ થાય છે એવી હકીકત મળતાં ગઈકાલે ફરીયાદી આધાર પુરાવાઓ સાથે આજીડેમ પોલીસ સ્ટેશનને રૂબરૂ મળી જાણ કરી હતી. શેડમાં કારીગરો કોથળીમાં અગરબતી પેકીંગ કરી ને બોકસમાં મુકતા ઝડપાયાજે બાદ પોલીસની ટીમ સાથે કોઠારીયા સોલ્વન્ટ પ્લોટ નંબર 32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયામાં આવેલ ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો. કારખાનાના શેડમાં કારીગરો અગરબતી બોકસમાં મુકી પેકીંગ કરવાનુ કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિને કારખાના માલીક બાબતે પુછતા તેઓ કારખાનાના ભાગીદારો અને તેમનું નામ રસીક સવજી સરધારા (ઉ.વ.50) અને સાથેનાએ નારણ જસમત મારકણા (ઉ.વ.60) હોવાનુ જણાવ્યું હતું જે બાદ કારખાના વાળા શેડમાં જોતા અલગ અલગ કારીગરો કોથળીમાં અગરબતી પેકીંગ કરી ને બોકસમાં મુકતા જોવા મળ્યા હતા. બોકસની તપાસ કરતા શ્રી ડેંગ્યુ કિલર હર્બલ ઇસેન્સ સ્ટીકના બોકસ જેવા જ સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સ સ્ટીકના નામ વાળા ડુપ્લીકેટ બોકસમાં પેકીંગ કરતા જોવામાં આવ્યા હતાં. જેથી પોલીસે સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સના ખાલી બોક્સ 1400 રૂ.5600, સીલીંગ મશીન નંગ 1 રૂ.8000, પ્લાસ્ટકીની કોથળીમાં અગરબતી ભરેલ પેકેટ કૂલ નંગ 480 રૂ.12,000 મળી કુલ રૂ.25600નો જથ્થો કબ્જે કરી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર-ઈડર રોડ પર આવેલા હાથમતી ઓવરબ્રિજ પરથી શુક્રવારે સાંજે એક યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સમયે બાઇક પર પસાર થઈ રહેલા એક યુવકે યુવતીને પુલ પરથી પડતી જોઈ હતી. તેણે તાત્કાલિક મહેતાપુરા બેઠા પુલ પરથી નીચે પહોંચી યુવતીને પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. યુવતીને બચાવ્યા બાદ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, છલાંગ લગાવનાર યુવતી હિંમતનગરના બ્રહ્માણીનગર આસપાસના વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઈઝરાયલને તેની આસપાસના દેશોનો વિસ્તાર કબજે કરી લેવો છે. કબજો કર્યા પછી ઈઝરાયલનો નવો નકશો બને, એ છે -ગ્રેટર ઈઝરાયલ. 7 મહિના પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ i24 ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં એમણે કહેલું કે, હું ઐતિહાસિક અને અધ્યાત્મિક મિશન પર છું. હું ગ્રેટર ઈઝરાયલના વિઝનનું સમર્થન કરું છું. આ મિશન પેઢીઓનું છે. સદીઓથી યહૂદીઓ અહીંયા આવવાનું સપનું જોવે છે. આજે આપણે નેતન્યાહૂ અને યહૂદીઓના સપનાં સમાન ગ્રેટર ઈઝરાયલની વાત કરવાની છે, જેના કારણે ઈઝરાયલે અમેરિકા સાથે મળીને ઈરાન યુદ્ધ શરૂ કર્યું છે. નમસ્કાર, ઈઝરાયલે 1967માં પાડોશી દેશો સાથે 6 દિવસનું યુદ્ધ કર્યું હતું. એ વખતે પેહલીવાર 'ગ્રેટર ઈઝરાયલ' શબ્દનો પ્રયોગ થયો હતો. 6 દિવસના એ યુદ્ધમાં ઈઝરાયલે પૂર્વી જેરૂસલેમ, ઈજિપ્તનો સિલાઈ પેનેન્સુલા વિસ્તાર, જોર્ડન પાસેનો વેસ્ટ બેન્કનો વિસ્તાર, સિરિયા પાસેથી ગોલન હાઈટ્સનો એરિયા કબજે કરી લીધો હતો. હજી પણ ઈઝરાયલ ઈચ્છે છે કે લેબનોન, જોર્ડન અને સિરિયાના કેટલાક વિસ્તારો પર કબજો કરી લે. ઈઝરાયલ આવું કેમ કરવા માગે છે? તેની સ્ટોરી દિલચસ્પ છે, તે આપણે આગળ જાણીશું. નેતન્યાહૂનો પડદા પાછળનો અસલી ખેલ અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલના કહેવાથી ઝંપલાવ્યું હતું. તેને ઓઈલની લાલચ હતી. પણ ઈઝરાયલને ઓઈલનો મોહ નથી. ન તો ઈરાન પર કબજો કરવાનો હેતુ છે કે ન તો અમેરિકાના વર્ચસ્વને હવા આપવી... તેની અલગ જ ગેમ ચાલી રહી છે અને નેતન્યાહૂ બહુ ખૂબીથી આ ગેમ રમી રહ્યા છે. આ યુદ્ધ યહૂદી અને ઈસ્લામનું યુદ્ધ છે. ઈઝરાયલ માટે આ ધર્મનું યુદ્ધ છે. આ યુદ્ધની વચ્ચે છે જેરૂસલેમ. દુનિયાની પવિત્ર જગ્યાઓમાંની એક છે. અહીંયા યહૂદીઓનું ટેમ્પલ માઉન્ટ મંદિર હતું. જે જગ્યાએ યહૂદીઓનું પહેલું અને બીજીવારનું મંદિર હતું ત્યાં આજે ત્રીજું મંદિર બાંધવાની વાત છે. અમેરિકાના કરંટ વોર સેક્રેટરી પિટ હેગસેથ 2018માં ઈઝરાયલ ગયા હતા ત્યારે તેમણે કહેલું કે એવું નથી કે ટેમ્પલ માઉન્ટ પર ત્રીજીવાર મંદિર ન બની શકે. મંદિર તો બની જ શકે. યહૂદીઓને જ્યુડિશ પણ કહે છે. જ્યુડિશ લોકોનું આસ્થાનું મંદિર ઈઝરાયલમાં હતું. આ મંદિરની જગ્યાએ એટલે કે ટેમ્પલ માઉન્ટની જગ્યાએ આજે અલ અકસા મસ્જિદ ઊભી છે. જે ઈસ્લામ ધર્મના લોકો માટે ત્રીજું સૌથી મોટું આસ્થાકેન્દ્ર છે. નેતન્યાહૂ મિડલ ઈસ્ટમાં ઈસ્લામને ખસેડીને યહૂદીઓને ઈઝરાયલમાં અને આસપાસના દેશોમાં વસાવવા માગે છે. ગ્રેટર ઈઝરાયલ એવો પ્રોજેક્ટ છે જેના પર નેતન્યાહૂ વર્ષોથી કામ કરતા આવ્યા છે. 29 મહિનાથી તે લડાઈ લડે છે. હવે ઈરાન પર હુમલો કર્યો છે, ગાઝામાં જે નરસંહાર થયો, લેબનોન પર કબજો ચાલી રહ્યો છે, વેસ્ટ બેન્કમાં જે આતંક ચાલી રહ્યો છે તે આ જ ગ્રેટર ઈઝરાયલ પર કબજો કરવાનો એક ભાગ છે. ઈરાનના યુદ્ધને સમજવું છે તો ઈઝરાયલના મનસૂબાને સમજવા પડશે. 'ગ્રેટર ઈઝરાયલ' શું છે? અત્યારે જે ઈઝરાયલ છે તેની આસપાસના દેશોનો કેટલોક વિસ્તાર પણ ઈઝરાયલ પોતાનો માને છે. સિરિયા અને ઈરાકનો બહુ મોટો ભાગ, 30% જેટલું ઈજિપ્ત, તુર્કીનો થોડો ભાગ અને સાઉદી અરેબિયાનો થોડો ભાગ 'ગ્રેટર ઈઝરાયલ' છે. 1977માં ઈઝરાયલના વડાપ્રધાન મેનાકેમ બેગિન પણ ગ્રેટર ઈઝરાયલના સમર્થક હતા. એ વખતે તેમણે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હતું કે સમુદ્રથી જોર્ડન વચ્ચેનો આખો વિસ્તાર યહૂદીઓનો છે. બેગિન એ જ લિકુડ પાર્ટીના હતા જે પાર્ટીના નેતન્યાહૂ છે. એટલે આ યહૂદીની વિચારધારા તો છે જ, સાથે લિકુડ પાર્ટીની પણ વિચારધારા છે. ઈઝરાયલમાં ચૂંટણીઓ નજીક છે અને નેતન્યાહૂ પોતાનું અને લિકુડ પાર્ટીનું અસ્તિત્વ બચાવવા મથે છે. ગ્રેટર ઈઝરાયલના વિચાર પાછળ યહૂદીઓની આ રસપ્રદ કહાની જોડાયેલી છે... યહૂદીઓનો પવિત્ર ગ્રંથ છે, હિબ્રુ બાઈબલ. તેમાં આ કહાની લખેલી છે. આજથી 4 હજાર વર્ષ પહેલાં યહૂદી સંત થઈ ગયા. નામ એનું અબ્રાહમ. તેમને ઈશ્વરે પ્રગટ થઈને દર્શન આપ્યાં અને તેમની પેઢીઓને મહાન દેશ બનાવવાની જવાબદારી સોંપી. આ અબ્રાહમના દીકરા આઈઝેક હતા. આઈઝેકના દીકરાનું નામ જેકબ. જેકબ પણ દાદા અબ્રાહમના પગલે અધ્યાત્મના માર્ગે ચાલ્યો. દાદા અબ્રાહમે તેનું નામ જેકબમાંથી બદલીને ઈઝરાયલ રાખ્યું. ઈઝરાયલના 12 દીકરા થયા તેમાંથી એક દીકરાનું નામ હતું જુડાહ. જુડાહનું નામ જ્યુશ પણ હતું. તેના સમર્થકો અને વંશજો જ્યુડિશ કહેવાયા. જ્યુડિશ એટલે યહૂદીઓ. એ વખતે સૌથી વધારે યહૂદીઓ ઈજિપ્તમાં રહેતા હતા. ઈજિપ્તમાં જ્યુડિશને કુદ્રષ્ટિથી જોવામાં આવતા હતા. ઈજિપ્તના લોકો એવું માનતા હતા કે જ્યુડિશ અલગ છે. રેફ્યુજી છે. અહીંયા આવીને રહે છે. ઈજિપ્તમાં જ્યુડિશ લોકોને નોકર બનાવીને રાખતા હતા. ઈજિપ્તના રાજાએ આદેશ આપ્યો કે જેટલા જ્યુડિશ બાળકો છે તેમાં ખાસ કરીને જે છોકરા છે તેને મારી નાખવામાં આવે. છોકરીઓને નહિ. ઈજિપ્તની સેનાએ જ્યુડિશ બાળકોને મારવાનું શરૂ કર્યું, પણ મોસેસ નામનું બાળક બચી ગયું. તે ઈજિપ્તમાં જ મોટા થયા પણ ઈજિપ્તમાં તેમના પર અત્યાચાર ચાલુ રહ્યો. અંતે એકવાર તે ઈજિપ્ત છોડીને ભાગી ગયા. તે ભાગતા ભાગતા ઈજિપ્તની બહાર પહોંચ્યા તો એક ઝાડમાં આગ લાગેલી જોઈ પણ આગ ઠરતી નહોતી અને ઝાડ પણ સતત સળગતું હતું. આ જોઈને મોસેસને નવાઈ લાગી કે આગ ઠરતી કેમ નથી? તે વિચારતા હતા ત્યાં એક દેવદૂત નીકળ્યો. તે એન્જલે કહ્યું કે તમારે ઈજિપ્તમાં પાછા જવાનું છે અને તમારું એક કામ છે. ઈજિપ્તમાં જઈને તમામ જ્યુડિશ લોકોને લઈને પાછા અહીંયા આવવાનું છે. સંત મોસેસે ઈજિપ્ત પાછા જઈને ત્યાંના રાજાને કહ્યું કે, મને અમારા ભગવાને આવીને આદેશ આપ્યો છે કે મારે ઈજિપ્તમાં રહેતા તમામ જ્યુડિશ લોકોને પાછા લઈને જવાનું છે. ત્યારે ઈજિપ્તના રાજાએ કહ્યું કે, એ કેવી રીતે બને? હું બધાને કેવી રીતે લઈ જવા દઉં? રાજાએ ના પાડી દીધી. પછી ઈજિપ્તમાં એક પછી એક મહામારી આવી. દસ મહામારી આવી. ત્યારે ઈજિપ્તના રાજાને સમજાયું કે મોસેસની વાત માની નહિ એટલે આ મહામારી આવી. રાજાએ મોસેસને બોલાવીને કહ્યું કે હું ઈજિપ્તમાંથી તમામ જ્યુડિશને લઈ જવાની છૂટ આપું છું. મોસેસ બધાને લઈને ઈજિપ્તમાંથી નીકળ્યા.આ ઘટનાને 'એક્સોડસ' કહે છે. એક્સોડસ એ યહૂદીઓના ઈતિહાસની સૌથી મોટી ઘટના છે. આ બધા જ્યુડિશ માઉન્ટ સિનાઈમાં ગયા. બધા સિનાઈ પહાડ પર બેઠા હતા ત્યાં દેવદૂત ફરી પ્રગટ થયા અને તેમણે જ્યુડિશને આદેશ આપ્યો કે તેમણે કેવી રીતે જીવન જીવવાનું છે. આને 10 કમાન્ડમેન્ટ ઓફ જ્યુશ કહે છે. હવે એવું હોવું જોઈએ કે એક એવી જગ્યા હોય જ્યાં બધા જ્યુડિશ લોકો રહેતા હોય. ત્યાં જ્યુડિશ સરકાર હોય અને દેવદૂતે બતાવેલા 10 નિયમોનું પાલન કરીને તમામ યહૂદી લોકોનું સંચાલન કરતી હોય. પણ એવું થયું નહિ. 40 વર્ષ સુધી યહૂદી લોકો મોસેસની સાથે અલગ અલગ વિસ્તારમાં ફરતા રહ્યા અને જીવન જીવતા રહ્યા. પછી એ લોકો ચોક્કસ જગ્યાએ પહોંચ્યા જ્યાં સંત મોસેસની અંતિમ ઘડી નજીક આવી. સંત મોસેસ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેની સામેની જમીન તરફ આંગળી ચિંધીને કહ્યું કે આ સામેનો પ્રદેશ પ્રોમિસ્ડ લેન્ડ છે જે ઈશ્વરે આપણને આપી છે. તમે આ જમીન પર રહો ને રાજ કરો. જ્યુડિશ (યહૂદી)ઓ આ જમીન પર પહોંચ્યા. ત્યાં યહૂદીઓનું રાજ્ય (કિંગડમ) બન્યું. તેને નામ આપવામાં આવ્યું કિંગડમ ઓફ ઈઝરાયલ. જે અબ્રાહમના પૌત્ર જેકબનું બીજું નામ હતું. આ કિંગડમ ઓફ ઈઝરાયલમાં ગાઝા, પેલેસ્ટાઈન, ઈઝરાયલ, જોર્ડન, લેબનોન મળીને કિંગડમ ઓફ ઈઝરાયલ બન્યું. આ એ જ પ્રદેશો છે જેને ફરી ગ્રેટર ઈઝરાયલ બનાવવાની વાત છે.ખ્રિસ્તીમાં જેમ જિસસ ક્રાઈસ્ટ સર્વોપરી છે. ઈસ્લામમાં સર્વોપરી મોહમંદ પયગંબર છે તે રીતે જ્યુડિશ ધર્મમાં સર્વોપરી છે - સંત મોસેસ. ગ્રેટર ઈઝરાયલ સંભવ છે કે નથી? કિંગડમ ઓફ ઈઝરાયલમાં ત્રણ મહત્વના રાજા બન્યા. કિંગ સોલ, ડેવિડ અને સોલોમન. થોડા વર્ષો પછી આ વિસ્તારમાં ક્રિશ્ચાનિટી આવી. તેના થોડા સમય પછી ઈસ્લામ ધર્મ આવ્યો. મૂળ યહૂદીઓ આસપાસ માઈગ્રેટ થઈ ગયા. એટલે એ લોકો કિંગડમ ઓફ ઈઝરાયલમાં જોવા મળ્યા નહિ. ઓછા થઈ ગયા. આજની તારીખે ઈઝરાયલ એવો દાવો કરે છે કે એક સમયે કિંગડમ ઓફ ઈઝરાયલ હતું એ જ વિસ્તાર અમારો હતો. હવે ઈઝરાયલનો વિસ્તાર કરીને ગ્રેટર ઈઝરાયલ બનાવવું છે. નેતન્યાહૂ તો કહે જ છે કે અમારે અમારો જૂનો વિસ્તાર પાછો જોઈએ છે. યહૂદીઓને થયું કે આ તો આપણી વસ્તી ઓછી થતી જશે, એટલે તેમણે પોતાનો ધર્મ ઊભો કર્યો યહૂદી ધર્મ અને અંગ્રેજીમાં ઝાયનિઝમ. મોટાભાગના યહૂદી એટલે જ્યુડિશ પોતાની જમીન પર પાછા ફરવા લાગ્યા. આ જમીન પર જ ઈઝરાયલ દેશે આકાર લીધો. ઝાયનિઝમ ધર્મના આધારે જ ઈઝરાયલની રાજધાનીનું નામ જેરૂસલેમ પડ્યું. અત્યારે જે ગ્રેટર ઈઝરાયલની વાત છે તે વિસ્તાર તો બહુ મોટો છે અને વિવાદાસ્પદ પણ છે. એટલે ભવિષ્યમાં પણ ગ્રેટર ઈઝરાયલ સંભવ નથી. છતાં તે ગ્રેટર ઈઝરાયલનું સપનું જોવે છે. ગ્રેટર ઈઝરાયલનો વિસ્તાર ઈજિપ્તની નાઈલ નદીથી સિરિયાની યુફ્રેટિસ નદી સુધીનો વિસ્તાર માનવામાં આવે છે. ગ્રેટર ઈઝરાયલ માટે યુદ્ધો થયા, હજી પણ થાય છે સમય જતાં જમીન માટે લડત ચાલુ થઈ. યુદ્ધ થવા લાગ્યા. 1967માં 6 દિવસનું યુદ્ધ થયું.જેમાં એક તરફ ઈઝરાયલ અને બીજી તરફ અરબ દેશો. અરબ દેશોમાં ઈજિપ્ત, જોર્ડન, લેબનોન, સિરિયા સામેલ હતા. એ યુદ્ધમાં ઈઝરાયલે અરબ દેશોને હરાવ્યા. એ પછી ઈઝરાયલે કેટલાક વિસ્તારો કબજે કરી લીધા. તેમાં ઈજિપ્તનો સિલાઈ પેનેન્સુલા, જોર્ડન પાસેનો વેસ્ટ બેન્કનો વિસ્તાર, સિરિયા પાસેથી ગોલન હાઈટ્સનો એરિયા. પછી તો સિલાઈ પેનેન્સુલા વિસ્તાર ઈજિપ્તને પાછો આપી દીધો. પણ વેસ્ટ બેન્ક અને સિરિયાનો વિસ્તાર પાછા ન આપ્યા. ઈઝરાયલ દિવસે દિવસે આક્રમક બનતું જાય છે. 2023માં હમાસે હુમલો કર્યા પછી ગાઝાનું યુદ્ધ થયું. હવે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે. ઈઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મટરિચે એકવાર પેરિસમાં સ્પીચ આપી હતી. સ્પીચ આપતી વખતે લાકડાંનું સ્ટેન્ડ (પોડિયમ) હતું તેના પર મેપ દોર્યો હતો તે ગ્રેટર ઈઝરાયલનો હતો. 'ગ્રેટર'ની આઈડિયોલોજી માત્ર ઈઝરાયલ પૂરતી સિમિત નથી ગ્રેટર ઈઝરાયલની આઈડિયોલોજી માત્ર ઈઝરાયલ પૂરતી સિમિત નથી. અગાઉ પણ ગ્રેટર બાંગ્લાદેશની વાત થઈ છે, ગ્રેટર નેપાળની વાત થઈ છે હવે ગ્રેટર ઈઝરાયલની વાત થઈ રહી છે. ગ્રેટર ઈઝરાયલમાં બીજા દેશોના ભાગ લેવા બિલકુલ સહેલું નથી. આ વાત ઈઝરાયલ પણ જાણે છે. એટલે લેબનોન, સિરિયા, જોર્ડન જેવા દેશોમાં સ્થિરતા નહિ આવવા દે. ઈઝરાયલ અત્યારે એવું ઈચ્છે છે કે લેબનોન, સિરિયા અને જોર્ડનને ઈરાન સપોર્ટ કરે છે. તે ખતમ થઈ જાય તો ગ્રેટર ઈઝરાયલનો રસ્તો સહેલો થઈ જશે. પણ એવું સહેલું નથી, કારણ કે લેબનોનમાં હિઝબુલ્લાહનો દબદબો છે. સિરિયામાં ISIS મજબૂત છે. ઈઝરાયલ ઈચ્છે છે કે પેલેસ્ટિનિયન લોકો અહિથી ચાલ્યા જાય પણ એવું તાત્કાલિક નહિ થાય. કારણ કે વેસ્ટ બેન્ક અને ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન લોકો પાડોશી દેશો ઈજિપ્ત અને લેબનોન જઈ શકે તેમ નથી. આ દેશ તેમને સ્વિકારશે નહિ. ઈઝરાયલના આ ધર્મયુદ્ધમાં અમેરિકાને કેમ રસ છે? ટ્રમ્પ યુદ્ધ પૂરું કરવા ધમપછાડા કરે છે. સોશિયલ મીડિયા પર દેકારા કરે છે કે અમેરિકાની મદદે કોઈ આવતું નથી. આ સમયે ઈઝરાયલે લેબનોનમાં ગાઝા પાર્ટ-2 શરૂ કરી દીધું છે. લેબનોન પર વ્હાઈટ ફોસ્ફરસ જેવા પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેબનોનમાંથી 30 લાખ લોકો હિજરત કરી ગયા છે. ઈરાન કરતાં ય વધારે તબાહી લેબનોનમાં થઈ છે. નેતન્યાહૂ જાણતા હતા કે ગ્રેટર ઈઝરાયલનું સપનું પૂરું કરવું હોય તો ઈરાનને નબળું પાડવું પડે અને આના માટે અમેરિકાનો સાથ લેવો પડે. ઈઝરાયલ વર્ષોથી આ પ્રયાસ કરતું હતું કે કોઈ એવો અમેરિકી રાષ્ટ્રપતિ આવી જાય કે અમે કહીએ તેમ કરે... અત્યાર સુધી ઈઝરાયલે દરેક અમેરિકી રાષ્ટ્રપતિને મનાવવા પ્રયાસ કરી લીધા પણ કોઈએ મચક ન આપી ને ટ્રમ્પ શીશામાં ઉતરી ગયા. યહૂદીઓનું પહેલું મંદિર કિંગ સોલોમને બંધાવ્યું હતું અને બેબિલિયન્સે ધ્વસ્ત કર્યું હતું. બીજીવાર મંદિર તોડવામાં આવ્યું ખ્રિસ્તીઓના આગમન બાદ. જેને રોમન લોકોએ તોડ્યું. સવાલ એ છે કે આ બધામાં અમેરિકાને કેમ રસ છે? જવાબ એ છે કે- કેટલાક અમેરિકન ક્રિશ્ચિનનું માનવું છે કે જેરૂસલેમમાં ટેમ્પલ બનવાથી જિસસની વાપસીનો રસ્તો ખુલી જશે. આમાં માત્ર ધર્મની વાત નથી, પોલિટિક્સ પણ છે. પિટ હેગસેથે 2018માં જેરૂસલેમ જઈને એવું કહેલું કે ડોનાલ્ડ ટ્રમ્પ તમારા માટે પાવરફૂલ છે. તે જે ધારે તે મિડલ ઈસ્ટમાં કરી શકે છે. હકીકતે અમેરિકાને મિડલ ઈસ્ટના ઓઈલ-ગેસના ખજાનામાં રસ છે. ત્યાં તેણે અધિપત્ય જમાવવું છે. ઈરાન સામેનું યુદ્ધ પોલિટિકલ ઓછું, ધાર્મિક વધારે છે એક રિપોર્ટ મુજબ ઈઝરાયલના સોલ્જર અને અમેરિકન સોલ્જર પોતાના યુનિફોર્મ પર થર્ડ ટેમ્પલના પેચિસ લગાવે છે. ઈઝરાયલી સેના પોતાની જીપ પર અલ અકસા મસ્જિદના ફોટા લગાવીને 'અમારી જીત' એવું લખીને ફરે છે. આ પોલિટિકલ ઓછું ને ધર્મ યુદ્ધ વધારે છે તે ખ્યાલ ત્યારે આવે છે જ્યારે યુદ્ધ શરૂ થયું તેના બીજા જ દિવસે દુનિયાભરના શિયા મુસલમાનના લીડર અયાતુલ્લા અલી ખામેની પર મિસાઈલ ફેંકવામાં આવી ને તેનું મોત થઈ ગયું. તેને જાણીજોઈને રમઝાનના મહિનામાં જ મારવામાં આવ્યા. ઈઝરાયલની મનશા છે કે મિડલ ઈસ્ટના દેશો અંદર અંદર લડી મરે એટલે ઈઝરાયલ જ મિડલ ઈસ્ટનો ડોન બની જાય. અમેરિકાનો ઉપયોગ કરીને ઈઝરાયલ મિડલ ઈસ્ટનો સુપર પાવર બનવા માગે છે. ઈઝરાયલ અંદરખાને ઈચ્છે છે કે અમેરિકાને પણ નુકસાન પહોંચે જેથી તેની સુપર પાવરની છબિ ભૂંસાઈ જાય. દુનિયામાં જ્યુડિશ સુપ્રીમસી હોય અને દુનિયાને પોતે કંટ્રોલ કરે.. પણ નેતન્યાહૂની આ મનશા આ જનમમાં તો પૂરી થાય તેવું લાગતું નથી. છેલ્લે, નવાઈની વાત એ છે કે જે ઈજિપ્તે યહૂદીઓ પર જુલમ ગુજાર્યો તે યહૂદીઓનો અલગ દેશ બન્યો- ઈઝરાયલ. 1948માં ઈઝરાયલની રચના થઈ ત્યારે તેને દેશ તરીકે પેહલી માન્યતા ઈજિપ્તે જ આપી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
ક્રિકેટના જગતના મહાન દિગ્ગજ ક્રિકેટરો ફરી એકવાર ભારતની ધરતી પર પરત ફરવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) તેની બીજી સીઝન સાથે પરત ફરી રહી છે. શાનદાર ડેબ્યૂ બાદ ફરી આ લીગ 24 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2026 દરમિયાન મુંબઈ, વડોદરા અને વિઝાગમાં યોજાશે, જે જૂની યાદો અને વિશ્વ કક્ષાની T20 એક્શનની રોમાંચક ઉજવણી પૂરી પાડશે. સીઝન 1માં ઇન્ડિયા માસ્ટર્સ ચેમ્પિયન બન્યું હતું, જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ક્રિકેટરો જોવા મળ્યા હતા. તે વેગને આગળ ધપાવતા, સીઝન 2 ફરી એકવાર રમત જગતના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડઓ રમતા જોવા મળશે. IMLએ તેની પ્રથમ સીઝનમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો, જે TV અને OTT પ્લેટફોર્મ પર 246 millionની પહોંચ સાથે ભારતમાં બીજી સૌથી વધુ જોવાયેલી મેન્સની T20 લીગ તરીકે ઉભરી આવી હતી. ટૂર્નામેન્ટના પુનરાગમન વિશે વાત કરતા, લીગ કમિશનર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે: “IMLની સીઝન -1 એ પુષ્ટિ કરી છે કે, ક્રિકેટના મહાન દિગ્ગજોનો જાદુ ચાહકોમાં ઊંડે સુધી ગુંજતો રહે છે. જેમ જેમ આપણે સીઝન 2 માટે પરત ફરી રહ્યા છીએ, તેમ તેમ અમારું ધ્યાન તે અનુભવને વધુ ઊંચાઈ પર લઈ જવા પર છે, જેમાં વધુ સ્પર્ધા, વધુ અવિસ્મરણીય ક્ષણો અને રમત પ્રત્યેનો એ જ અતૂટ જુસ્સો હશે. ચાહકો તેમના હીરોને ફરીથી એક્શનમાં જોવાની આશા રાખી શકે છે, અને મને વિશ્વાસ છે કે આ ટૂર્નામેન્ટની અન્ય એક ખરેખર યાદગાર આવૃત્તિ હશે.” સીઝન 2માં ફરી એકવાર ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરતી 6 ફ્રેન્ચાઇઝી ટીમો જોવા મળશે, જેની મેચો ભારતના પ્રીમિયર ક્રિકેટ સ્થળો પર રમાશે. સંપૂર્ણ શેડ્યૂલ, ટીમ રોસ્ટર્સ (ખેલાડીઓની યાદી) અને ટિકિટિંગ માહિતી સહિતની વધુ વિગતો આગામી મહિનાઓમાં જાહેર કરવામાં આવશે.
વલસાડ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વીમા સુરક્ષા અને સરકારી સહાયની માંગ કરી છે. ભગુ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કેરીનું ફ્લાવરિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે, પરંતુ આ વર્ષે નવેમ્બરમાં વહેલું ફ્લાવરિંગ થતાં કેરીઓ ઈંડા આકારની થઈ ગઈ હતી. ખેડૂતોને સારા પાકની આશા હતી, પરંતુ વાવાઝોડાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે. આ નુકસાન ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં નોંધાયું છે. જોરદાર પવનને કારણે આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. અગાઉ, ધુમ્મસને કારણે ફ્લાવરિંગના બે તબક્કા નિષ્ફળ ગયા હતા, અને હવે વાવાઝોડાએ બાકી બચેલા પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, જે કેરીઓ જમીનદોસ્ત થઈ ગઈ છે, તેનો હવે કોઈ ખેતીવાડીમાં લાભ મળવાનો નથી. સરકાર આ પાકને વીમા કવચ હેઠળ આવરી લે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી માંગ છે. ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે મોંઘા ભાવની દવાઓ અને ખાતરના છંટકાવ બાદ પાક તૈયાર થયો હતો. કમાણીના સમયે જ પવને પાયમાલી સર્જી છે. જમીન પર પડેલી કેરીઓની ગુણવત્તા બગડી જતી હોવાથી બજારમાં તેની કોઈ કિંમત મળતી નથી, જેના કારણે દેવું ચૂકવવું પણ મુશ્કેલ બન્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે નુકસાનીનો સર્વે કરીને યોગ્ય સહાય જાહેર કરવામાં આવે.
બોટાદ જિલ્લામાં આવેલા મીની વાવાઝોડા બાદ PGVCL ટીમોએ નોંધપાત્ર કામગીરી કરી છે. ભારે પવન અને વરસાદને કારણે 245 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, PGVCL એ ટૂંકા સમયમાં જ 215 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી છે. વાવાઝોડાને કારણે બોટાદ જિલ્લામાં વીજ વ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. કુલ 58 ST પોલ અને 30 LT પોલ ધરાશાયી થયા હતા, જ્યારે ત્રણ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું હતું. આના પરિણામે 245 ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. આ સંકટની ઘડીમાં PGVCL ની ટીમોએ દિવસ-રાત સતત કામગીરી હાથ ધરી હતી. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં, ટીમોએ ઝડપથી સમારકામ કરીને 215 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સફળતા મેળવી છે. બાકી રહેલા 30 ગામોમાં પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બોટાદ જિલ્લા PGVCL ના અધિક્ષક ઈજનેર કે. ડી. નિનામાએ આ માહિતી આપી હતી અને ટૂંક સમયમાં તમામ વિસ્તારોમાં વીજળી પૂર્વવત થવાની આશા વ્યક્ત કરી હતી.
ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 2026 માટેના પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિધાપીઠની એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કુલપતિ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક વર્ષ 2026 માટેની પ્રવેશ કાર્યવાહી મંજુર કરવામાં આવી છે. 22 માર્ચથી પ્રવેશ અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. અલગ અલગ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જે બાદ પ્રવેશ પરીક્ષા માટે 10 મેના રોજ રાજ્યના 26 સ્થાનો પરીક્ષા યોજવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પીએચ.ડી સહિત 1246 બેઠક પર એડમિશન મેળવી શકશોગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જ પરિણામ જાહેર થાય તે પહેલા જ ગૂજરાત વિધાપીઠમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગૂજરાત વિધાપીઠમાં 8 સ્નાતક, 3 સ્નાતકોત્તર, 20 અનુસ્નાતક, 1 અનુસ્નાતક ડિપ્લોમા, 16 વિષયોમાં પીએચ.ડી અભ્યાસક્રમ સહિત કુલ 1246 જેટલી બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 22 માર્ચથી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશોપ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 22 માર્ચથી 8 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 10 મેના પ્રવેશ પ્રક્રિયા યોજ્યા બાદ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. 12 અને 13મે દરમિયાન પીએચ .ડી સિવાયના અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 14 મેના પીએચ. ડી જૂથ ચર્ચા અને રૂબરૂ મુલાકાત રાખવામાં આવી છે. જે બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા 1લી જુલાઈથી નવું સત્ર શરુ કરવામાં આવશે. 10 મેના GEETA પરીક્ષા યોજાશેપ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના પીએચ. ડી. સિવાયના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિધાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA ( Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિધાપીઠ દ્વારા પરીક્ષા આગામી 10 મેના રોજ રાજ્યના 28 કેન્દ્રો પર લેવાશે. રાજ્ય બહારના ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર પછી જાહેર કરાશે. 10મેના રોજ જ પરિણામ જાહેર કરાશેપ્રવેશ પરીક્ષા 60 પ્રશ્નોની રહેશે જે માટે 90 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારીત OMRથી પરીક્ષા લેવામાં આવશે. તેમજ 10મેના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પ્રવેશ કાર્યવાહી 12- 13 મે દરમિયાન જ્યારે પીએચ.ડી. માટે 14 મેના રોજ જૂથચર્ચા અને રૂબરૂ મુલાકાત યોજાશે.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના 38 પીડિતોને ₹ 3.46 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ કાર્યવાહી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એ.ડોડીયા અને તેમની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કરવામાં આવી હતી. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જે NCCRP પોર્ટલ પર દાખલ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ ₹ 3,50,87,598 જેટલી રકમ વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાવી હતી. માર્ચ 2026માં યોજાયેલી લોક અદાલતમાં, નામદાર ચીફ કોર્ટ ભરૂચ દ્વારા 38 પીડિતોને ₹ 3,46,89,074 પરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ, સાયબર ક્રાઇમ પોલીસે પીડિતોને રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને કોર્ટ હુકમોનું વિતરણ પણ કર્યું. જાન્યુઆરી 2026 થી 15 માર્ચ 2026 સુધીના સમયગાળા દરમિયાન, રીફંડ કામગીરીમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે, જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે.
બનાસકાંઠાના ઓગડ તાલુકાના ઉણ ગામે થયેલા હુમલાના પાંચ આરોપીઓને થરા પોલીસે શિહોરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે એક મહિલા સહિત આ પાંચેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. થરા પોલીસે આ કેસમાં એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે શિહોરી કોર્ટ સમક્ષ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેથી વધુ તપાસ હાથ ધરી શકાય. જોકે, શિહોરી કોર્ટે પોલીસની પાંચ દિવસની માંગણી સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ મુજબ, આરોપીઓ હવે સોમવાર સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઉણ ગામમાં થયેલા હુમલા બાદ પોલીસે 800થી 1000 અજાણ્યા લોકો સામે FIR નોંધી હતી. આ ઉપરાંત, 16 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી
વલસાડ તાલુકાના રોલા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગામના ડેપ્યુટી સરપંચ ચિંતનકુમાર પટેલે તેમની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરનાર મોહનભાઈ બુધાભાઈ પટેલને ₹1 કરોડની માનહાનિની કાનૂની નોટિસ પાઠવી છે. આ નોટિસમાં 7 દિવસની અંદર જાહેર માફી માંગવા અને આક્ષેપો પરત ખેંચવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મોહનભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી અરજીમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા અન્ય સભ્યો સામે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અરજીમાં બોગસ સહી અને ખાનગી ફોરેન્સિક રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો. ચિંતનકુમાર પટેલે પોતાના વકીલ મારફતે મોકલેલી નોટિસમાં તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના મુજબ, પંચાયતના નાણાકીય વ્યવહારો અને ઓર્ડર પ્રક્રિયામાં ડેપ્યુટી સરપંચની કોઈ સીધી ભૂમિકા હોતી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે તમામ રેકોર્ડ તલાટી દ્વારા સંભાળવામાં આવે છે. ડેપ્યુટી સરપંચે વધુમાં જણાવ્યું કે, કોઈપણ કાયદેસર પુરાવા વગર તેમને “આરોપી” તરીકે દર્શાવવું ગેરકાયદેસર છે. તેમણે આ પ્રયાસને તેમની જાહેર છબી અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. એડવોકેટ જયંતીભાઈ એલ. ગાંધી મારફતે મોકલાયેલી નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો મોહનભાઈ પટેલ 7 દિવસની અંદર સ્થાનિક અખબારમાં જાહેર માફી નહીં માંગે અને સોગંદનામું આપી આક્ષેપો પરત નહીં ખેંચે, તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, ₹1 કરોડના વળતરનો દાવો પણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને રોલા ગામમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આવનારી પંચાયત ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ બનતા ગ્રામજનોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
સોમનાથ વિકાસ માટે ઐતિહાસિક શરૂઆત:30 વર્ષના વિઝન સાથે શહેરી વિકાસ સત્તામંડળની પ્રથમ બેઠક
સોમનાથ અને વેરાવળ શહેરના સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલ સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) હવે કાર્યરત થયું છે. તેની પ્રાથમિક તબક્કાની પ્રથમ બેઠક આજે ઈણાજ સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યના 30 વર્ષના વિઝન સાથે વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસ માટે અધિકારીઓ પાસેથી વિગતવાર સૂચનો મંગાવાયા હતા. શહેરના વિકાસ માટે એક મજબૂત અને વ્યાપક નકશો તૈયાર કરવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ છે. સત્તામંડળે સેટેલાઈટ મેપિંગના આધારે વિસ્તારનું સર્વેક્ષણ કર્યું છે. આ સર્વેક્ષણમાં રહેણાંક, ખેતીલાયક જમીન, જંગલ વિસ્તાર અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની વિગતોનો સમાવેશ થાય છે. આ માહિતીના આધારે રોડ-રસ્તા, બગીચા, પાર્કિંગ, વીજળી, પર્યાવરણ અને સામાજિક માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આયોજન હાથ ધરાશે. મુસદ્દારૂપ નગર વિકાસ યોજના અંતર્ગત જિલ્લાના કુલ 19 ગામોને સત્તામંડળના કાર્યક્ષેત્રમાં સામેલ કરાયા છે, જેનાથી સમગ્ર વિસ્તારના સમતોલ વિકાસને ગતિ મળશે. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સત્તામંડળની કામગીરીથી અવગત કરાવવાનો હતો. ભવિષ્યમાં સામાન્ય નાગરિકોના સૂચનોને પણ યોજનામાં સ્થાન આપવામાં આવશે, જેનાથી લોકોની જરૂરિયાતોને અનુરૂપ વિકાસ શક્ય બનશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની આ પહેલ ભવિષ્યમાં વેરાવળ-સોમનાથ વિસ્તારને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આયોજનબદ્ધ વિકાસથી આ વિસ્તાર એક મોડલ શહેર તરીકે ઉભરી શકે તેવી શક્યતાઓ છે.
ઋત્વિ ગિરધરભાઈ દેત્રોજા (ઉ.વ.20) પોતાના ઘરે રહીને જ પડધરીના એક યુવાન સાથે ભાગીદારીમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી. રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં કામ કરતી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જો કે ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક ઋત્વિની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. ઘરમાં લગ્ન અને નવા જીવનની તૈયારીઓ વચ્ચે દીકરીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પડધરીના જીલરીયા ગામે રીક્ષા પલ્ટી જતા દિયર સાથે જતી ભાભીનું મોત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા ટીનાભાઈ ભાણજીભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમનો નાનો ભાઈ મનાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભાણજીભાઈ સોલંકી અને મારા પત્ની રેખાબેન છકડો રીક્ષામાં પ્લાસ્ટિકનો ભંગાર લઈ પરત આવી રહ્યા હતા ત્યારે જીલરીયા ગામ નજીક વળાંકમાં છકડો રીક્ષા પલટી મારી જતા, રેખાબેનને માથામાં અને શરીરમાં ગંભીર ઈજા થતાં 108 મારફત પડઘરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા તપાસી તબીબે તેને મૃત જાહેર કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે રેખાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાણીની મોટર પ્લાસ્ટિકથી ઢાંકવા ગયેલો શ્રમિક દશેક ફૂટની ઊંચાઈએથી ભરડીયામાં ખાબક્યો રાજકોટના બામણબોર પાસે આવેલા 'જયસ્ટોન ક્રશર' (ભરડિયા)માં મજુરી કામ કરતા આરીફભાઈ અરસાદભાઈ મંડલ (ઉં.વ.34) ગંભીર રીતે ઘાયલ થયા છે. મૂળ કોલકાતાના વતની આરીફભાઈ પ્લાન્ટ પર હાજર હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો જેના કારણે ઇલેક્ટ્રિક મોટર પલળી ન જાય તે હેતુથી તેના પર પ્લાસ્ટિક ઢાંકવા માટે તેઓ આશરે 10 ફૂટની ઊંચાઈએ ચડ્યા હતા દરમિયાન પ્લાસ્ટિક ઢાંકતી વખતે અચાનક પગ લપસતા તેઓ સીધા નીચે પટકાયા હતા. 10 ફૂટની ઊંચાઈએથી નીચે પડતા તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વૃધ્ધાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ નજીક આણંદપર ગામે રહેતા અમીતાબેન વાલજીભાઈ જાદવ (ઉં.વ.60)એ ગઈકાલે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું બાદમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન અમીતાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળ પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે જેમાં અમીતાબેનનો પુત્ર જીતેન્દ્ર પોતાની જ સગી માસી મંજુબેન મનુભાઈ રાઠોડની દીકરી પૂજાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાથી પરિવારમાં તણાવ ઊભો થયો હતો. પુત્ર જીતેન્દ્ર માસીની દીકરીને લઈને ભાગી જતાં, સામા પક્ષ તરફથી અને સંબંધીઓ તરફથી અમીતાબેનને સતત મેણા-ટોણા અને ધમકીઓ આપવામાં આવતી હતી જેનાથી કંટાળી માનસિક રીતે ભાંગી પડેલા અમીતાબેને અંતે આ પગલું ભરી લીધું હતું. હાલ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે અને કુવાડવા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૌટુંબિક કંકાસમાં યુવકે ફીનાઇલ ગટગટાવ્યુ રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ, હુસેની ચોક પાસે આવેલા નારાયણ નગરમાં રહેતા અહેમદભાઈ ઉંમરભાઈ સોરા (ઉ.વ.36) નામના યુવકે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેના કારણે તેની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહેમદભાઈ ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લાંબા સમયથી ચાલી રહેલા ગૃહકલેશથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સંતકબીર રોડ પર છકડાની ટક્કરથી ઓટો રિક્ષા પલ્ટી ખાઇ જતા પ્રૌઢનું મોત મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં હનીફભાઇ જમાલભાઇ કારવા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત તા.9.3.2026ના સવારે 8 વાગ્યે રિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે સંતકબીર રોડ પર ધરાર શાકમાર્કેટ નજીક રિક્ષા પહોંચી ત્યારે છકડાની ટક્કર લાગતાં રિક્ષા પલ્ટી જતાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર હનીફભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. આવતીકાલે રમઝાન ઇદ છે ત્યારે જ પરિવારના મોભીના મોતથી પરિવારમાં માતમ છવાઇ જવા પામ્યો છે.
મોરબીમાં ગુરુવારે ભારે પવન ફૂંકાતા સિરામિક કારખાનાઓને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદ પહેલા આવેલા આ પવનના કારણે કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા હતા. મોટાભાગના કારખાનેદારોને ₹50,000 થી ₹5 લાખ સુધીનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં કુલ 650 જેટલા સિરામિક કારખાના આવેલા છે. હાલમાં ગેસની અછતને કારણે તેમાંથી લગભગ 450 કારખાના બંધ છે. ગુરુવારે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલા ભારે પવનથી આ ઉદ્યોગને પણ અસર થઈ છે. સિરામિક ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ અને હળવદ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મોટાભાગના સિરામિક કારખાનાઓના શેડના પતરા ઉડી ગયા છે. સદનસીબે, કારખાના બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. અન્ય સિરામિક ઉદ્યોગપતિ ધવલભાઈ રાંકજાએ માહિતી આપતા જણાવ્યું કે, ભારે પવનથી ખેતી અને ઉદ્યોગ બંનેને નુકસાન થયું છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં શેડના પતરા તૂટવા કે ઉડી જવાના કારણે પ્રત્યેક કારખાનેદારને ₹50,000 થી ₹5 લાખ સુધીનું નુકસાન થયું છે.
AMCએ 'અમદાવાદ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી 2026' જાહેર કરી છે, જે દેશના મ્યુનિસિપલ સ્તરે પ્રથમ પ્રકારની અનોખી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ પોલિસી હેઠળ અમદાવાદ શહેર હવે દેશભરના સ્ટાર્ટઅપ્સ, યુવા ઇનોવેટર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક 'લિવિંગ લેબોરેટરી' તરીકે ઉભરશે, જ્યાં તેઓ પોતાની નવીન તકનીકી અને વિચારોને વાસ્તવિક પરિસ્થિતિમાં ટેસ્ટ કરી શકશે. શહેરમાં રસ્તાના ખાડા ઝડપી ઠીક કરવાથી લઈને પૂરની આગાહી, કચરો વ્યવસ્થાપન વધુ સ્માર્ટ બનાવવું અને હવા પ્રદૂષણ ઘટાડવા જેવા પ્રશ્નો માટે સ્ટાર્ટઅપ્સને સીધી તક આપવામાં આવશે. પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને રૂ. 35 લાખની સહાય મળશેAMCએ આગામી પાંચ વર્ષ માટે કુલ 250 કરોડના ઈનોવેશન ફંડની જાહેરાત કરી છે, જેમાં દર વર્ષે 50 કરોડ ફાળવવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સના પાઇલટ પ્રોજેક્ટ, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને સફળ મોડેલના વિસ્તરણ માટે કરવામાં આવશે. ખાસ કરીને, પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને રૂ. 35 લાખ સુધીની સહાય સરળતાથી મળી રહેશે. આ પ્રક્રિયામાં કોઈ બિલ કે ઇન્વોઇસની આવશ્યકતા નહીં રાખવામાં આવે, જે સ્ટાર્ટઅપ્સ માટે મોટી રાહત રહેશે. આ પોલિસી હેઠળ પ્રોક્યોરમેન્ટ થ્રેશોલ્ડ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવ્યા છે. ગ્રાન્ટને સ્ક્રિનિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે7.5 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે પાઇલટ ફંડિંગ સપોર્ટ અને પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટેની ગ્રાન્ટને સ્ક્રિનિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે, તેમજ 7.5 લાખ સુધીના પ્રૂવન સોલ્યુશન્સ માટે ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ અને વર્ક ઓર્ડર જારી કરવાની સત્તા પણ સ્ક્રિનિંગ કમિટી પાસે રહેશે. 7.5 લાખથી 15 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે પ્રૂવન સોલ્યુશન્સ માટે ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ અને વર્ક ઓર્ડર જારી કરવાની મંજૂરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) દ્વારા આપવામાં આવશે. 15 લાખથી વધુ અને 35 લાખ સુધીના પ્રોજેક્ટ્સ માટે સ્ટાર્ટઅપ્સમાંથી મર્યાદિત બિડ સાથે બિડ ચેલેન્જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જ્યારે 35 લાખથી વધુના પ્રોજેક્ટ્સ માટે તમામ ફર્મ્સ પાસેથી ખુલ્લી બિડ સાથે, રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ (ROFR) સહિતની બિડ ચેલેન્જ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે, અને આવા તમામ કેસોમાં પણ અંતિમ મંજૂરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BoM) દ્વારા આપવામાં આવશે. કાર્યરત સ્ટાર્ટઅપ્સને ત્રણ વર્ષ સુધી 50 ટકા સુધીની ટેક્સ છૂટ મળશેપોલિસી હેઠળ સ્ટાર્ટઅપ્સને શહેરની મહત્વપૂર્ણ સુવિધાઓ જેમ કે પાણી પુરવઠા નેટવર્ક, કચરો સંકલન સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટિંગ, BRTS કોરિડોર, ડ્રેનેજ અને આરોગ્ય કેન્દ્રો સુધી સીધી ઍક્સેસ આપવામાં આવશે. AMCનો ભાર માત્ર પ્રેઝન્ટેશન પર નહીં પરંતુ જમીન પર કામ કરતા સોલ્યુશન્સ પર રહેશે. AMCએ સ્ટાર્ટઅપ્સને પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત આપવાની જાહેરાત કરી છે. કાર્યરત સ્ટાર્ટઅપ્સને ત્રણ વર્ષ સુધી 50 ટકા સુધીની ટેક્સ છૂટ મળશે, જે 250 સ્ક્વેર મીટર સુધીના ઓફિસ માટે લાગુ પડશે. ઉપરાંત, PPP મોડલ હેઠળ કો-વર્કિંગ સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને શહેરના કોમ્યુનિટી હોલ તથા ઓડિટોરિયમને ઇનોવેશન હબ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, જો કે સીધી જમીન ફાળવણી કરવામાં આવશે નહીં. ઈનોવેશન બોન્ડ દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના પણ વિચારાધીનપોલિસીનો એક મહત્વપૂર્ણ પાસો એ છે કે સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવતી ટેકનોલોજી અને સોલ્યુશન પર તેમનો જ અધિકાર રહેશે. AMC માત્ર તેનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ લેશે. SCADL દ્વારા માત્ર સફળતા બાદ અને કેસ આધારિત રીતે 2 ટકા જેટલો ઈક્વિટી હિસ્સો લેવામાં આવી શકે છે, જ્યારે પાઇલટ સ્ટેજ દરમિયાન કોઈ ઈક્વિટી લેવામાં નહીં આવે. શહેરમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે AMC દ્વારા સબસિડાઇઝ્ડ દરે ઓડિટોરિયમ અને જાહેર હોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વર્કશોપ અને ઇન્વેસ્ટર મીટ યોજી શકાશે. ઉપરાંત, ઈનોવેશન બોન્ડ દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના પણ વિચારાધીન છે, જેનાથી સફળ સોલ્યુશન્સને શહેરભરમાં વિસ્તૃત કરી શકાય. AMC પ્રોજેક્ટ્સમાં 15 ટકા કામ સ્ટાર્ટઅપ્સ માટે અનામત રખાશેમોટા પ્રોજેક્ટ્સમાં પણ સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. 50 કરોડથી વધુના AMC પ્રોજેક્ટ્સમાં 15 ટકા કામ સ્ટાર્ટઅપ્સ માટે અનામત રાખવામાં આવશે. એટલું જ નહી કેન્દ્ર સરકારના MSMEની ગાઈડલાઈન અનુસાર તેનું પાલન કરવામાં આવશે. આ સાથે જ 'રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ' (ROFR)ની વ્યવસ્થા દ્વારા સ્ટાર્ટઅપ્સને ટેન્ડર પ્રક્રિયામાં પોતાનું સોલ્યુશન આગળ વધારવાની તક મળશે. સ્ટાર્ટઅપ્સ માટે એક કોમન ડિજિટલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે, જ્યાં તેઓ અરજી કરી શકશે, શહેરની સમસ્યાઓ જાણીને તેના ઉકેલો રજૂ કરી શકશે, મેન્ટર્સ સાથે જોડાઈ શકશે અને ટેન્ડર સંબંધિત માહિતી મેળવી શકશે. આ સાથે, AMC દર વર્ષે 3થી 5 દિવસનો ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ફેસ્ટ પણ યોજશે, જેમાં સ્ટાર્ટઅપ એક્સ્પો, હેકાથોન, પિચિંગ અને ડેમો ડે જેવા કાર્યક્રમોનો સમાવેશ થશે. પસંદગી બાદ તેમને 6 મહિનામાં રજિસ્ટ્રેશન કરવાની તક અપાશેઆ પોલિસી હેઠળ ભારતભરના DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ ઉપરાંત વિદ્યાર્થી, સંશોધક અને વ્યક્તિગત ઇનોવેટર્સ પણ અરજી કરી શકે છે, અને જો તેઓ હજુ સુધી રજિસ્ટર્ડ ન હોય તો પસંદગી બાદ તેમને 6 મહિનામાં રજિસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવશે. આ પોલિસી છેલ્લા એક વર્ષ દરમિયાન સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય ભાગીદારો સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવી છે. આમાં સરકાર સાથે કામ કરતી વખતે સ્ટાર્ટઅપ્સને આવતી મુશ્કેલીઓનું સંપૂર્ણ સમાધાન આપવામાં આવ્યું છે અને એક વ્યવહારુ તથા અમલીકરણ આધારિત મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ હવે અર્બન ઈનોવેશન માટે લિવિંગ લેબોરેટરી તરીકે ઉભરશેઆ પોલિસી દ્વારા અમદાવાદ હવે અર્બન ઈનોવેશન માટે લિવિંગ લેબોરેટરી તરીકે ઉભરશે, જ્યાં સ્ટાર્ટઅપ્સ તેમના ઉકેલો બનાવી, ટેસ્ટ કરી અને સ્કેલ કરી શકશે. આમ, અમદાવાદે માત્ર એક નવી પોલિસી જાહેર કરી નથી, પરંતુ શહેર અને ઇનોવેટર્સ વચ્ચે સહકારની નવી વ્યવસ્થા ઉભી કરી છે. AMCના આ પગલાથી અમદાવાદ હવે અર્બન ઈનોવેશન માટે દેશનું આગવું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ઉનામાં 24 માર્ચથી ગરીબી સર્વે શરૂ થશે:ફરિયાદો, RTI અરજીઓનો સમયસર નિકાલ કરવા કલેક્ટરની સૂચના
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકલક્ષી પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ તેમજ ગરીબી નિવારણ માટેના વિશેષ સર્વે પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર ઉપાધ્યાયે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનાર મલ્ટી ડાયમેન્શનલ પ્રોપર્ટી ઇન્ડેક્સ સર્વે અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં હાલમાં 9.41 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે. આવા પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવા માટે આ સર્વે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ સર્વે તા. 24 માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામોમાં હાથ ધરવામાં આવશે. દરેક ગામ માટે એક ક્લાસ-1 અને એક ક્લાસ-2 અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ કામગીરીમાં તલાટીઓ સહિતના સ્થાનિક કર્મચારીઓ પણ સક્રિય રીતે જોડાશે. સર્વે દરમિયાન ગામોની આંગણવાડી, શાળા અને આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવશે. કુલ ૫૮ મુદ્દાઓ પર માહિતી એકત્રિત કરીને તેના આધારે ગરીબી નિવારણ માટેની આગળની કામગીરી નક્કી કરવામાં આવશે. કલેક્ટરએ બેઠકમાં નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપીને સમયસર તેનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવતી માહિતીનો સમયમર્યાદામાં જવાબ આપવો જરૂરી હોવાનું જણાવી બેદરકારી ન રાખવા તાકીદ કરી હતી. બેઠકમાં તાલાલા વિસ્તારના માલધારીઓને એસ.ટી. પ્રમાણપત્ર આપવાના પ્રશ્ન, વાડલા સહિતના ફોરેસ્ટ વિસ્તારમાં રસ્તામાં અવરોધરૂપ ઝાડ કાપવા અને સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા ગામોમાં પ્રવેશ માર્ગ જેવી સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરએ સંબંધિત વિભાગોને આ તમામ મુદ્દાઓ અંગે સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. અગાઉના પડતર પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગો વચ્ચે સંકલન જાળવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો હતો. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે દ્વારા નાગરિક અરજીઓના નિકાલ, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસ, પગાર ફિક્સેશન અને સરકારી વસૂલાત જેવા મુદ્દાઓમાં સમયસર કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, મહીસાગર વન વિભાગ અને મહીસાગર એડવેન્ચર એન્ડ નેચર ફાઉન્ડેશન દ્વારા 20 માર્ચના રોજ 4000થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણને સુરક્ષિત કરવાનો છે. વન વિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના સભ્યોએ જાહેર સ્થળોએ અવરજવર કરતા લોકોને ચકલીઘર આપીને ચકલીઓના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરી હતી. ચકલીઓને લુપ્ત થતી અટકાવવા માટે તેમના સંરક્ષણ અને સંવર્ધન અર્થે આવા કૃત્રિમ ચકલીઘર મૂકવા અત્યંત જરૂરી છે. આ માળાઓ તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી પ્રજનન અને વસવાટમાં મદદરૂપ થાય છે, કારણ કે ચકલીઓ સામાન્ય રીતે ઝાડ પર માળો બનાવતી નથી. મહીસાગર નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે બે હજારથી વધુ કૃત્રિમ માળાનું વિતરણ કરવામાં આવે છે. આ માળાઓમાં ચકલીઓની અવરજવર જોવા મળી છે, જે સકારાત્મક પરિણામ દર્શાવે છે. લોકો વન વિભાગ અને નેચર ક્લબને ચકલીઘરના ફોટા પણ મોકલે છે. આ વર્ષે પણ 4000થી વધુ ચકલીઘરનું વિતરણ કરીને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જેનાથી લોકોમાં ચકલીઓ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ વધ્યો છે. એનજીઓ દ્વારા લોકોને માળા વિતરણ કરીને ચકલીઓના અસ્તિત્વને જાળવી રાખવા અને તેમને આવનારી પેઢી માટે વારસા રૂપે બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ નિરીક્ષક શહેનાઝબેન બાબી, વિસાવદર-ભેસાણના ચૂંટણી પ્રભારી સત્યમભાઈ મકાણી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ હાજરી આપી આગામી ચૂંટણી પૂરી તાકાતથી લડવાનો નિર્ધાર કર્યો હતો. વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળીવિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયાએ બેઠકના ઉદ્દેશ્ય અને પક્ષની રણનીતિ અંગે જણાવ્યું હતું કે, આજ રોજ વિસાવદર મુકામે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની એક બેઠક બોલાવવામાં આવેલી હતી. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તરીકે આ વિસ્તારના એવા પ્રદેશ અગ્રણી શહેનાઝબેન બાબી તેમજ વિસાવદર અને ભેસાણ તાલુકાના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રભારી સત્યમભાઈ મકાણી તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ પટેલની હાજરીમાં આ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવેલી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ સીટ પર કોંગ્રેસ જીતશેતેમણે વધુમાં ઉમેર્યું કે, બેઠકમાં બહોળી સંખ્યામાં તમામ કોંગ્રેસના આગેવાનો અને ગામડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી પૂરી તાકાતથી લડવા માટેની એક નેમ વ્યક્ત કરવામાં આવી છે. હું આશા રાખું છું કે, આવનારી ચૂંટણીમાં અમે સંપૂર્ણપણે બહુમતીથી આ તાલુકાની અંદર જીતવાના છીએ. જિલ્લા પંચાયતની ત્રણેય ત્રણ સીટ અને તાલુકા પંચાયતની 18 એ 18 સીટ આ વખતે કોંગ્રેસ જીતવાની છે. આમ આદમી પાર્ટીનો પરપોટો ફૂટી ગયોઆમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કરસનભાઈએ જણાવ્યું કે, જે આમ આદમી પાર્ટીનો હાઉ ઊભો થયો હતો, જે પરપોટો ઊભો થયો હતો એ અત્યારે ફૂટી ગયો છે. કારણ કે એક વર્ષ થયું છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા એક પણ ગામમાં એક પણ તગારું ધૂળ નખાણી નથી. પોતાની ગ્રાન્ટ સિવાયનું એક પણ કામ ક્યાંય થયું નથી. એટલે લોકો જે એની ઉપર આશા અને અપેક્ષા રાખતા હતા, તેમાં આ લોકો ઉણા ઉતર્યા છે અને લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે કે 'આ અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે'. લોકોના આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળવાના છેકરસનભાઈ વાડોદરિયાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, એક વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીથી તો લોકો આમેય ત્રાસ્યા છે અને એના ત્રાસને કારણે જ અગાઉ આ આમ આદમી પાર્ટીનો વિજય થયા છે, પરંતુ આ વખતે એ આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળવાના છે. કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતશે એવો સૌ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતા ફરી એકવાર કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહી છેઆ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને છેવાડાના ગામડાઓ સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ આગેવાનોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે, વર્તમાન રાજકીય સ્થિતિમાં જનતા ફરી એકવાર કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહી છે.
મોરબી મહાપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹1132.38 કરોડનું બજેટ શુક્રવારે મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનર અને તેમની ટીમે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને જીવનની ગુણવત્તા સુધારવાના લક્ષ્ય સાથે આ બજેટ તૈયાર કર્યું છે. કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હોલમાં વહીવટદારની હાજરીમાં કમિશનર દ્વારા બજેટ રજૂ કરાયું હતું. કમિશનર સ્વપ્નિલ ખરેએ મહાપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સમક્ષ આ બજેટ રજૂ કર્યું હતું. ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ બજેટ મહાપાલિકાના અગાઉના બજેટ કરતાં પણ મોટું છે. અગાઉ, વર્ષ 2025-26 માટે મોરબી મહાપાલિકાનું કુલ બજેટ ₹783.02 કરોડ હતું. આ વર્ષના બજેટ માટે, લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. કુલ 149 સૂચનો મળ્યા હતા, જેમાંથી 64 સૂચનોનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટ માટે મારવેલસ મોરબી 2.0 થીમ રાખવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીને આધુનિક, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિક-મૈત્રી શહેર તરીકે વિકસાવવાનો છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આઉટગ્રોથ કનેક્ટિવિટી માટે ₹55 કરોડના ખર્ચે 6 નવા રસ્તા બનાવવામાં આવશે. આમાં લીલાપર રોડ, રવાપર રોડ, દલવાડી સર્કલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ અને નવલખી રોડને જોડતા કેનાલ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોકેબલ મોરબી અંતર્ગત રોડ બ્યુટીફીકેશન માટે 20 કરોડ, 24 સર્કલના નવીનીકરણ માટે 8.51 કરોડ, 9 મુખ્ય રસ્તાઓના બ્યુટીફીકેશન માટે 15 કરોડ, વાઇટ ટોપિંગ રોડ માટે 32.57 કરોડ, નવા રસ્તા અને રીસફેસિંગ માટે 70 કરોડ, નહેરૂ ગેટથી દરબારગઢ હેરીટેજ વોક-વે માટે 15 કરોડ, મણીમંદિર 3D ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે 3.19 કરોડ, વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડેશન માટે 49.51 કરોડ, બે નવા STPના નિર્માણ માટે 78 કરોડ, ડ્રેનેજ લાઇનના વિકાસ માટે 21.97 કરોડ, માર્કેટ રીડેવલપમેન્ટ માટે 35 કરોડ, 6 તળાવના બ્યુટીફીકેશન માટે 72 કરોડ, પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઑક્સિજન પાર્ક માટે 8 કરોડ, શહેરના ઐતિહાસિક સ્થળોએ ડાયનેમિક લાઈટિંગ માટે 5 કરોડ, મોડર્ન લાઈબ્રેરી માટે 30 કરોડ, કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે 10.27 કરોડ અને એનિમલ હોસ્ટેલ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે સુખદ સમાચાર આવ્યા છે. કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આ કેન્દ્રને અત્યાધુનિક તબીબી સાધનોની ભેટ આપવામાં આવી છે. આ પહેલથી વરતેજ અને તેની આસપાસના અંદાજે 8 ગામોના હજારો નાગરિકોને હવે ઘરઆંગણે જ ગુણવત્તાસભર સારવાર મળી રહેશે. અત્યાધુનિક સાધનોથી સજ્જ થશે હોસ્પિટલઆ પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલને અનેક મહત્વપૂર્ણ સાધનો ફાળવવામાં આવ્યા છે. જેમાં પલ્સ ઓક્સિમીટર, નેબ્યુલાઇઝર, બ્લડ પ્રેશર મશીન અને ECG મશીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતા ડિફિબ્રીલેટર અને નવજાત શિશુઓની સંભાળ માટે ઇન્ફન્ટ વોર્મર, ફોટોથેરાપી યુનિટ તેમજ ફેટલ ડોપ્લર જેવા સાધનો પણ ઉપલબ્ધ કરાવાયા છે. પ્રસૂતિ સેવાઓ માટે ખાસ નવા ડિલિવરી બેડની સુવિધા પણ આપવામાં આવી છે. માતા અને શિશુના આરોગ્યને મળશે નવી તાકાતનવા સાધનોના આગમનથી CHCના ગાયનેકોલોજી અને ફિઝિયોથેરાપી વિભાગોની ક્ષમતામાં મોટો વધારો થશે. ખાસ કરીને માતા-શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ વધુ સચોટ અને ઝડપી બનશે. આ કામગીરી શાખા મેનેજર ચિંતન આચાર્ય અને CHC સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે કેનફિન હોમ્સની ટીમમાંથી વિવેક વ્યાસ (એસિસ્ટન્ટ મેનેજર) અને મુરુગન રાજારામ (ઓડિટર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેરમાં ગત રાત્રીના પડેલા કમોસમી વરસાદે નગરવ્યવસ્થાની ખામીઓને ખુલ્લી પાડતા ઉત્તર સરદારનગર વોર્ડ નં.12 વિસ્તારમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, માત્ર એક જ દિવસના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પર ભારે અસર પડી હતી જેમાં કોંગ્રેસએ ડ્રોન કેમેરાથી ઉત્તર સરદારનગરની કમોસમી વરસાદના પડતા તંત્રની પોલ ખોલી હતી, આ સમગ્ર પરિસ્થિતિને પ્રકાશમાં લાવવા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વોર્ડની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે ડ્રોન મારફતે સમગ્ર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી, ડ્રોનમાં કેદ થયેલા દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે રસ્તાઓ કાદવ કીચડ થી રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી જેથી વાહનચાલકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો, બેદરકારીના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતાં ગટરના પાણી પણ રસ્તાઓ પર વહી રહ્યા છે, આ અંગે કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલેએ જણાવ્યું હતું કે, વિકાસના મોટા મોટા દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, એક દિવસના કમોસમી વરસાદમાં જો આવી હાલત થઈ રહી છે તો ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બનશે તે નિશ્ચિત છે, અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે કાદવ અને ગંદકીના કારણે લોકો બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને વોર્ડની ડ્રેનેજ સિસ્ટમને સુધારવામાં આવે, જો તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જનહિત માટે લડત લડાશે.. આ મુદ્દે કોંગ્રેસ ના જયેશ બારૈયા, ભાવેશ પટેલ, ભૂપત સાટીયા, નિલેશ ઢાપા, ધમભા હાલાર તથા અમિત પરમાર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાથી શિરડી અને ઉજ્જૈન હવે મુસાફરી કરાવી સરળ બની છે. કારણ કે હવે રેલવે સાથે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા શિરડી અને ઉજ્જૈન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન ત્રણ બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને સેન્ટલ બસ ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. વડોદરાથી ઉજ્જૈનના રૂ. 445 અને શિરડીના રૂ. 685 ભાડુ રહેશે. ધારાસભ્યના હસ્તે 3 નવી બસનું ફ્લેગ ઓફઅકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વડોદરા ખાતે નવીન બસોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી, દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખાસ કરીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત બુધવારે ગાંધીનગર ખાતે લગભગ 182 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાથી ઉજ્જૈન અને શેરડીની 3 નવી બસ શરૂ વધુમાં કહ્યું કે, તેમાંથી વડોદરા શહેરને ત્રણ બસો ફાળવવામાં આવી છે. આજે અમે અહીંથી (વડોદરા) આ ત્રણ બસોનું ફ્લેગ ઓફ કર્યું છે. આ બસોમાંથી બે બસો ઉજ્જૈન જવાની છે અને એક બસ શિરડી જવાની છે. આ વ્યવસ્થા લોકોના સુખ-સુવિધા અને અવર-જવર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુસાફરોને મુસાફરીમાં વધુ રાહત મળશેવધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દર વર્ષે આવી નાની-મોટી નવી સુવિધાઓ ઉમેરતી રહે છે, જેથી મુસાફરોને મુસાફરીમાં વધુ રાહત મળે છે. છેલ્લા અનેક વર્ષોથી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે અને આવનારા સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. 'લોકોના સુખ-સુવિધા માટે સતત કાર્યરત રહે તેવી આશા'વધુમાં તેમણે કહ્યું કે, સ્ટાફ મુસાફરોની સુવિધા માટે સ્ટેશનને ખૂબ જ સરસ રીતે ચલાવી રહ્યો છે. આ માટે તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, સ્ટાફ આવનારા સમયમાં પણ આવી જ ઉત્તમ કામગીરી કરતા રહે અને લોકોના સુખ-સુવિધા માટે સતત કાર્યરત રહે તેવી આશા છે.
પાટણમાં હિન્દુ નૂતન વર્ષની ઉજવણી:ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજન
પાટણ: ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા ચૈત્ર માસની પ્રતિપદા તિથિના પ્રારંભે હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શહેરના આસ્થાના કેન્દ્ર સમા રોટલીયા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હનુમાનજીની આરતી વંદના, હનુમાન ચાલીસાના પાઠ અને રામનામના જાપ જેવા ધાર્મિક કાર્યક્રમો સંસ્કૃતિને અનુરૂપ યોજાયા હતા. કાર્યક્રમ બાદ શાખા પરિવાર દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. શાખાની મહિલા ટીમે મૂંગા પશુઓની સેવાર્થે રોટલીઓ અર્પણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ, મહિલા સહભાગીતા હર્ષિદાબેન સોની, પ્રાંત સંગઠનના જયેશભાઈ પટેલ, શિરીષભાઈ પટેલ, કારોબારી સભ્યો, મહિલા ટીમ અને શાખા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી આરતી વંદના કરી હતી.
લુણાવાડામાં ઈદ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ બજારોમાં સુરક્ષા સમીક્ષા
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આગામી ઈદ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. આયોજનના ભાગરૂપે, લુણાવાડા પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. આ પેટ્રોલિંગ લુણેશ્વર પોલીસ ચોકીથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ બજાર વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ પગપાળા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવાનો હતો. DySP કમલેશ વસાવા, લુણાવાડા ટાઉન પીઆઇ, જે. એસ. વળવી પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ઈદ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લુણાવાડા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દહેગામ તાલુકાના પશુપાલકોના હિતને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીને મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે દહેગામ તાલુકાને અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘમાંથી દૂર કરીને ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) સાથે જોડવાની માગ ઉઠાવી છે. '15 હજારથી વધુ પશુપાલકો રોજગાર માટે પશુપાલન પર નિર્ભર' ઇટાલિયાએ જણાવ્યું કે, દહેગામ તાલુકામાં અંદાજે 15 હજારથી વધુ પશુપાલકો રોજગાર માટે પશુપાલન પર નિર્ભર છે અને દરરોજ આશરે 60 હજાર લિટરથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે. છતાં સરકારી દસ્તાવેજોમાં ગાંધીનગર જિલ્લામાં આવતાં હોવા છતાં પશુપાલકોને ફરજિયાત અમદાવાદ સંઘમાં દૂધ પૂરું પાડવું પડે છે, જેના કારણે તેઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સંઘમાં આવી સુવિધાઓ મર્યાદિતતેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગર સંઘમાં દૂધના ફેટનો ભાવ 100થી વધુ આપવામાં આવે છે, જ્યારે અમદાવાદમાં ઓછો ભાવ મળે છે. ઉપરાંત અમદાવાદ સંઘમાં વિવિધ પ્રકારની કપાતો કરવામાં આવે છે, જ્યારે ગાંધીનગર સંઘમાં આવા કપાતો નથી. ગાંધીનગરમાં પશુ વીમા, વર્ષાંત બોનસ અને સમયસર ચૂકવણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યારે અમદાવાદ સંઘમાં આવી સુવિધાઓ મર્યાદિત છે. કાયદાની જોગવાઈઓનો દુરુપયોગથી પશુપાલકોનું આર્થિક નુકસાન અયોગ્યઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને પશુપાલકોને આર્થિક નુકસાન થાય તે યોગ્ય નથી. દહેગામ તાલુકાને ગાંધીનગરના મિલ્ક હેડ એરિયામાં સામેલ કરવામાં આવે તો પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. અંતે તેમણે મંત્રીને તાત્કાલિક નિર્ણય લઈ દહેગામ તાલુકાના પશુપાલકોને ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડવા વિનંતી કરી છે.
ઉમા કોલેજમાં પત્રકારત્વ પર સેમિનાર યોજાયો:પુલક ત્રિવેદીએ આધુનિક મીડિયા પર માર્ગદર્શન આપ્યું
ગાંધીનગરના સેક્ટર-23 સ્થિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે 'આજના સમયમાં પત્રકારત્વમાં અભિવ્યક્તિનો અંદાજ' વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમ કારકિર્દી માર્ગદર્શન સેમિનારના ભાગરૂપે આયોજિત કરાયો હતો. આ પરિસંવાદમાં જાણીતા કોલમિસ્ટ અને લેખક પુલક ત્રિવેદીએ પત્રકારત્વની બદલાતી પરિભાષા પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાષા, શૈલી અને નિષ્ઠા સાથે ટેકનોલોજીના સમન્વયથી આધુનિક પત્રકારત્વ વધુ વ્યાપક અને પ્રભાવશાળી બન્યું છે. ત્રિવેદીએ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ન્યુ મીડિયા ક્ષેત્રે આવેલા પરિવર્તનો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિતકુમાર પટેલે પત્રકારત્વ ક્ષેત્રની આવશ્યકતા અને શબ્દોની શક્તિ વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનાર સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પત્રકારત્વ વિભાગના પ્રિન્સિપાલ મિતેષ મોદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મીડિયા ક્ષેત્રમાં ઉપલબ્ધ નવી તકો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પત્રકારત્વનું મહત્વ, આધુનિક મીડિયામાં થઈ રહેલા પરિવર્તનો અને પત્રકાર તરીકેની જવાબદારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારના અંતે કેટલીક વિદ્યાર્થીનીઓએ મીડિયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ દાખવ્યો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણવિદ અને પત્રકાર કિશોરસિંહ પઢિયાર તેમજ કુનાલ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડૉ. કૃપાબેન ભટ્ટે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. કિરણબેન ખેની દ્વારા કરવામાં આવી હતી.
જરાત સરકાર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિના જતન અને સંવર્ધનના હેતુથી નળસરોવર ખાતે વિશેષ પર્યાવરણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 થી 16 માર્ચ દરમિયાન યોજાયેલી આ શિબિરમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કુદરતના સાનિધ્યમાં પ્રકૃતિના પાઠ શીખ્યા હતા. કુદરતના ખોળે શિક્ષણ અને પક્ષી દર્શનઆ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવો પ્રત્યે જાગૃત બને તેવો રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વન કેડી ભ્રમણ કરાવીને વિવિધ વૃક્ષો અને વનસ્પતિની ઓળખ આપવામાં આવી હતી. નળસરોવર તેના યાયાવર પક્ષીઓ માટે વિશ્વવિખ્યાત છે, ત્યારે વિદ્યાર્થીઓએ વિદેશથી આવતા મહેમાન પક્ષીઓ સહિત જળચર, ભૂચર અને ખેચર પશુ-પક્ષીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. વિક્રમભાઈ પગી દ્વારા બાળકોને પક્ષીઓની વિશિષ્ટતાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. વિવિધ પ્રવૃત્તિઓથી ગુંજ્યું નળસરોવરમાત્ર પક્ષી દર્શન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓએ કુદરતી વાતાવરણમાં હાઈક, સનસેટ વ્યુ અને કેમ્પ ફાયર જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. મેદાની રમતો દ્વારા બાળકોમાં સંઘભાવના અને શારીરિક કૌશલ્યો ખીલ્યા હતા. આરએફઓ સોલંકીએ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓની શિસ્ત અને ઉત્સાહ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ શાળાઓના વિદ્યાર્થીઓ રહ્યા સહભાગીઆ શિબિરમાં વિદ્યાધીશ વિદ્યા સંકુલ, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ, ગિજુભાઈ કુમાર મંદિર અને સ્વામી વિવેકાનંદ ઓપટ્રૂપના સ્કાઉટ જોડાયા હતા. શિબિરને સફળ બનાવવા માટે અજયભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, જયસિંહ ભાઈ અને સિનિયર સ્કાઉટ ગાઈડના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. વન વિભાગના કર્મચારીઓના સહયોગથી આ શિબિર વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહી હતી.
લક્ઝુરિયસ ગાડીઓ, ખાસ કરીને ટોયોટા ફોર્ચ્યુનરના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફોર્ચ્યુનર કારની ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. નવસારીના એક ગેરેજ પર દરોડા પાડી પોલીસે બે ફોર્ચ્યુનર કાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો ભાઈ હાલ પોલીસ રડારમાં છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગેરેજની તપાસ કરતા બે સફેદ રંગની ફોર્ચ્યુનર મળીસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગ્રીડ પાસે, ફનસિટી હોટલની સામે 'ખોડિયાર મોટર્સ' નામના ગેરેજમાં ચોરીની લક્ઝુરિયસ ગાડીઓ છુપાવવામાં આવી છે. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા ત્યાંથી સંજય ચુનીલાલ મોવલીયા (ઉ.વ. 45) નામનો શખસ મળી આવ્યો હતો. ગેરેજની તપાસ કરતા ત્યાંથી બે સફેદ રંગની ફોર્ચ્યુનર કાર મળી આવી હતી, જેની કિંમત અને દસ્તાવેજો બાબતે સંજય સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. માત્ર ફોર્ચ્યુનર કારની જ કેમ ચોરી?ગુનેગારોના નિશાના પર ફોર્ચ્યુનર કાર રહેવા પાછળનું મુખ્ય કારણ તેની હાઈ-રીસેલ વેલ્યુ અને ડિમાન્ડ છે. ફોર્ચ્યુનર એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ તેની કિંમત ખૂબ સારી ઉપજે છે. આરોપીઓ જાણતા હતા કે ગ્રામ્ય વિસ્તારો કે અન્ય રાજ્યોમાં આ ગાડીઓની માંગ વધુ રહે છે, અને જો નંબર પ્લેટ બદલી નાખવામાં આવે તો તેને ઓળખવી મુશ્કેલ બને છે. વળી, આ ગાડીઓ પાવરફુલ હોવાથી તેને ચોરી કર્યા બાદ ઝડપથી હાઈવે પર ભગાડી જવી સરળ રહે છે. સ્ક્રેપ ગાડીના એન્જિન-ચેચીસ નંબર નવી કારમાં લગાવતાસુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, આ શખસો જૂની અથવા અકસ્માતગ્રસ્ત સ્ક્રૅપમાં ગયેલી ફોર્ચ્યુનર ગાડીઓ સસ્તામાં શોધી કાઢતા હતા. ત્યારબાદ, બજારમાંથી આબેહૂબ નવી ફોર્ચ્યુનર ચોરી કરતા અને તેના પર સ્ક્રૅપમાં ગયેલી ગાડીના એન્જિન અને ચેસીસ નંબર એમ્બોસ (કોતરી) કરી દેતા હતા. આ રીતે ચોરીની ગાડીને કાયદેસરના કાગળો પર 'જીવતી' કરી વેચી દેવામાં આવતી હતી. ટેકનિકલ છેડછાડમાં માહેર છે મોવલીયા બ્રધર્સપકડાયેલો આરોપી સંજય મોવલીયા અને તેનો ભાઈ અતુલ મોવલીયા બંને રીઢા ગુનેગાર છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક કારમાં તો ચેસીસ નંબર સાથે એવી છેડછાડ કરવામાં આવી હતી કે મૂળ નંબર વાંચી જ શકાતો નહોતો. બીજી કાર પર ખોટી નંબર પ્લેટ લગાવીને તેને ફેરવવામાં આવતી હતી. ગેરેજની આડમાં તેઓ આખું 'રિટચિંગ' નેટવર્ક ચલાવતા હતા, જ્યાં ચોરીની ગાડીનો આત્મા (એન્જિન-ચેસીસ નંબર) બદલી નાખવામાં આવતો હતો. અંકલેશ્વરથી કનેક્શન અને 40 લાખનો મુદ્દામાલચોરાયેલી બે ફોર્ચ્યુનર પૈકી એક કાર ચાર દિવસ પહેલા જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરાઈ હતી. જેની ફરિયાદ નોંધાયાના ટૂંકા ગાળામાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને રિકવર કરી લીધી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 40 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી ગાડી ક્યાંથી ચોરાઈ છે તેની તપાસ હાલ એન્જિન નંબરના આધારે કરવામાં આવી રહી છે. ગેરેજ સંચાલકની સંડોવણી અને ધરપકડઆરોપી સંજય મોવલીયા મૂળ કાપોદ્રા, સુરતનો રહેવાસી છે અને નવસારીમાં ગેરેજ ચલાવે છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેનો નાનો ભાઈ અતુલ મોવલીયા આ ગાડીઓ ક્યાંકથી લઈ આવતો હતો અને તે ગેરેજ પર ગાડીઓને સાચવવાનું અને તેમાં ફેરફાર કરવાનું કામ કરતો હતો. પોલીસે સંજયની અટકાયત કરી છે અને અતુલની શોધખોળ તેજ કરી છે. આ બંને ભાઈઓ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યા છે. પોલીસની બાજ નજર અને આગામી તપાસસુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના મતે, આ માત્ર બે ગાડીઓનો કિસ્સો નથી, પરંતુ એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો અંશ હોઈ શકે છે. નવસારી ગ્રામ્ય પોલીસ હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ અગાઉ તેમણે કેટલી ગાડીઓ આ રીતે સ્ક્રૅપ નંબર પર વેચી દીધી છે અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરીતો સંડોવાયેલા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજી ટીમે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ઓખાના ભુંગા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો લલિતકુમાર રાબડિયા પોલીસ રેડમાં પકડાયો હતો. પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ કે.કે. ગોહીલ અને પીએસઆઈ ડી.ડી. વાળાના સૂચન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 20 માર્ચ, 2026ના રોજ એસઓજીના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોકભાઈ સવાણી અને હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવરને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડી પાસે એક વ્યક્તિ ઘણા વર્ષોથી ડોક્ટર તરીકે ખાનગી દવાખાનું ચલાવી રહ્યો હતો. રેડ દરમિયાન લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડિયા (ઉં.વ. 49, રહે. ગાયત્રીનગર, આરંભળા, તા. દ્વારકા) ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો હોવા છતાં ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓને સારવાર આપતો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓ, સારવારના સાધનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં એસઓજીના પી.આઈ. કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. ડી.ડી. વાળા, એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવર સહિત એસઓજી સ્ટાફ જોડાયો હતો.
બનાસકાંઠામાં 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:કુપોષણ મુક્ત જિલ્લા બનાવવા સંકલ્પને વેગ અપાયો
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે 'પોષણ સંગમ' કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજિત આ વર્કશોપનો મુખ્ય હેતુ જિલ્લાને કુપોષણમુક્ત કરવાનો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન દ્વારા તેમને કુપોષણમુક્ત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી 'પોષણ સંગમ' અભિયાન અંતર્ગત આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો કુપોષણમાંથી સંપૂર્ણપણે બહાર આવે તે માટે આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. બંને વિભાગોએ ટીમ વર્ક સાથે કામ કરવું અનિવાર્ય છે. તેમણે બાળકોને કુપોષણમુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ અને વ્યુહરચના અંગે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. નોંધનીય છે કે, 'પોષણ સંગમ' કાર્યક્રમના સઘન અમલીકરણને કારણે બનાસકાંઠા જિલ્લામાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ફેબ્રુઆરી-2025માં જિલ્લામાં બાળકોમાં 'વેસ્ટિંગ'નું પ્રમાણ 6.03% થી ઘટીને 3.09% થયું છે. તેવી જ રીતે, 'અન્ડરવેઇટ' બાળકોનું પ્રમાણ 17.93% થી ઘટીને 9.45% જેટલું નીચું આવ્યું છે. આ સફળતા પાછળ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર, મુખ્ય સેવિકા, CDPO અને આઇ.સી.ડી.એસ. સ્ટાફની સખત મહેનત અને સમર્પણ રહેલું છે. આ વર્કશોપ દ્વારા ઉપસ્થિત ટીમને નવી ઉર્જા અને કાર્યશૈલી પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે પ્રેરક બનશે. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવાના ઉદ્દેશ્યને વરેલી સંસ્થા NMOCON દ્વારા રાષ્ટ્રીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવશે. આ બે દિવસીય અધિવેશનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ખાસ ઉપસ્થિત રહેશે. દેશના અંતિમ ગામ સુધીમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય5 નવેમ્બર 1977ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 23મા રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન દેશના અંતિમ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાના પવિત્ર અને રાષ્ટ્રનિષ્ઠ ઉદ્દેશ સાથે National Medicos Organisation (NMO) ની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન ધન્વંતરીને આદર્શ રૂપે કેન્દ્રમાં રાખીને તેમજ “ન ત્વહં કામયે રાજ્યં ન સ્વર્ગં નાપુનર્ભવમ્ । કામયે દુઃખતપ્તાનાં પ્રાણિનામાર્તિનાશનમ્ ॥” આ મહાવાક્યને જીવનમૂલ્ય તરીકે સ્વીકારી “સ્વાસ્થ્ય સેવા – રાષ્ટ્ર સેવા”ના ધ્યેયને સાકાર કરવા માટે સંસ્થાએ કાર્ય આરંભ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા તરીકે દેશભરમાં સેવાકાર્યમેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ તબીબોમાં સેવાભાવ, રાષ્ટ્રનિષ્ઠા, ચરિત્ર નિર્માણ, સંગઠન શક્તિ અને ગુરુ-શિષ્ય પરંપરાના સંવર્ધનના ઉદ્દેશ સાથે કાર્યરત આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા તરીકે દેશભરમાં સેવાકાર્ય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આરોગ્ય સેવા સાથે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશસંસ્થા દ્વારા દેશભરમાં વિવિધ સેવા પ્રકલ્પો પણ ચલાવવામાં આવે છે. ઉત્તર-પૂર્વ ભારતના દુર્ગમ વિસ્તારોમાં યોજાતી ધન્વંતરી સેવા યાત્રા, જમ્મુ-કાશ્મીરમાં યોજાતી ઋષિ કશ્યપ સ્વાસ્થ્ય સેવા યાત્રા, તેમજ દેશભરના મેડિકોઝ માટે આયોજિત અખિલ ભારતીય અભ્યાસ વર્ગ જેવા કાર્યક્રમો દ્વારા આરોગ્ય સેવા સાથે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવે છે. અધિવેશનમાં 2500 વિધાર્થીઓ જોડાશે આ અધિવેશનનું આયોજન NMO ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરના 21થી વધુ રાજ્યોમાંથી આશરે 2500થી વધુ મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ તબીબો ભાગ લેશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ Journey toward Oneness in Health – From One Health રાખવામાં આવી છે. 21 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશેરાષ્ટ્રીય અધિવેશનનો મુખ્ય ઉદ્ઘાટન સમારોહ 21 માર્ચે સાંજે 5:30 વાગ્યે ખાતે યોજાશે. આ અવસરે મુખ્યમંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે NMO ગુજરાતના ભૂતપૂર્વ પ્રાંત સચિવ તથા હાલ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડો . પ્રદ્યુમન વાઝા માર્ગદર્શન આપશે. આ પ્રસંગે કોન્ફરન્સની સ્મૃતિરૂપે સો બુકલેટ તથા NMOની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંબંધિત NMO Journalનું પણ વિમોચન અતિથિઓ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજનકોન્ફરન્સ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ તબીબો માટે Scientific Paper Presentation, Poster Presentation, Medical Dental Quiz, Youth Parliament, Poster Making Competition, Reel Making Competition તેમજ વિવિધ વિષયો પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આરોગ્ય સેવા ક્ષેત્રમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના સેવા કાર્યોની રજૂઆત પણ કરવામાં આવશે.
વલસાડ જિલ્લાના વાપીમાં પત્નીના પ્રેમીની હત્યાના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઠાકુરની 45 દિવસની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી પર પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવકનું અપહરણ કરી હત્યા કરવાનો ગંભીર આરોપ છે. વાપીની થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપીએ 45 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાની દલીલોને ધ્યાનમાં રાખીને, ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ પુષ્પાબેન સૈનીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો આદેશ આપ્યો છે. કેસની વિગતો મુજબ, આરોપીની પત્ની અને મૃતક અરવિંદભાઈ રાઠવા (ઉંમર 38) વચ્ચે પ્રેમ સંબંધ હતો. શીતલબેન પ્રેમી અરવિંદ સાથે વડોદરાના મકરપુરામાં રહેવા જતી રહી હતી. આ બાબતથી રોષે ભરાયેલા પતિ રાજુ ઉર્ફે રાજેશ ઠાકુરે મિત્રો સાથે મળીને કાવતરું રચ્યું હતું. ભાડું આપવાના બહાને અરવિંદને વાપી બોલાવવામાં આવ્યો હતો. પોલીસ એફિડેવિટ અનુસાર, અરવિંદને એક રૂમમાં બંધ કરી નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાકડાના ફટકા વડે તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો. આરોપીએ ગુપ્તાંગના ભાગે ઇલેક્ટ્રિક વાયર વડે કરંટ આપ્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને રિક્ષામાં ભરી પારડી નજીક નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ મૃતકનું ATM કાર્ડ પડાવી લઈ અલગ-અલગ ATMમાંથી અંદાજે રૂ. 70,000 ઉપાડી લીધા હતા અને તેના દસ્તાવેજો પણ સળગાવી દીધા હતા. આરોપીએ પરિવારના ભરણપોષણ માટે 45 દિવસના જામીન માગ્યા હતા. પરંતુ સરકારી વકીલ અને પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે નોંધ્યું કે આરોપી સામે IPC કલમ 302 સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એટ્રોસીટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયો છે. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાથી ફરાર થવાની શક્યતા છે અને સાક્ષીઓને ડરાવવાની ભીતિ પણ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરંટ લાગવાથી મોત થયાની પુષ્ટિ થઈ હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ કર્યો છે. આ કેસમાં મૃતક અરવિંદ રાઠવા (ઉંમર 38) હતા અને મુખ્ય આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઠાકુર છે. ગુનાની કલમોમાં IPC 302 (હત્યા), 201 (પુરાવાનો નાશ), 342 (ગેરકાયદેસર અટકાયત), 120(બી) (ગુનાહિત કાવતરું), 323 (સ્વૈચ્છિક ઈજા), 384 (ખંડણી) અને એટ્રોસીટી એક્ટનો સમાવેશ થાય છે. લૂંટની રકમ રૂ. 70,000 અને મોબાઈલ ફોનનો પણ ઉલ્લેખ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રીની કચેરી બહાર સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલી આત્મહત્યા પ્રયાસની ઘટનાએ તંત્રને ઝંઝોળી નાખતા હવે કચેરીએ પ્રવેશ માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિનું સંપૂર્ણ બોડી ચેકિંગ ફરજિયાત બનાવાયું નવી વ્યવસ્થા મુજબ હવે કોઈપણ અરજદાર અથવા મુલાકાતી સ્કેનિંગ વગર Dy CM ઓફિસ સુધી પહોંચી શકશે નહીં. કચેરી પ્રવેશદ્વારે મેટલ ડિટેક્ટર મશીન ગોઠવી દેવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિનું સંપૂર્ણ બોડી ચેકિંગ ફરજિયાત બનાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલાં સુરક્ષામાં કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સુરક્ષા વ્યવસ્થા મુખ્યમંત્રી (CM) ઓફિસ જેવી કડક બનાવી દેવામાં આવી છે. આત્મહત્યા પ્રયાસ જેવી ગંભીર ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા વધારીપ્રશાસનનું કહેવું છે કે, લોકોની સુરક્ષા અને કચેરીના સંવેદનશીલ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે. આત્મહત્યા પ્રયાસ જેવી ગંભીર ઘટના ફરી ન બને તે માટે તમામ એન્ટ્રી પોઈન્ટ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. આ બદલાવથી હવે Dy CM ઓફિસમાં પ્રવેશ વધુ સાવચેતી અને નિયમો સાથે જ શક્ય બનશે, જેને લઈને અરજદારોને પણ નવી પ્રક્રિયા અનુસરવી પડશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર 2.09થી 2.35 સુધીનો વધારો ઝીંકી દીધો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવતા સ્થાનિક સ્તરે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સુરત સહિત રાજ્યભરના વાહનચાલકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી રહી છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર ભારત પરપ્રીમિયમ પેટ્રોલમાં આ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે. આ યુદ્ધના માહોલને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે. ખાસ કરીને જે દેશોમાંથી ભારત કાચું તેલ ઈમ્પોર્ટ કરે છે, ત્યાં યુદ્ધના વાદળો ઘેરાતા ટ્રાન્સપોર્ટ અને વીમા ખર્ચમાં પણ વધારો થયો છે, જેનો બોજ આખરે ગ્રાહકો પર આવી રહ્યો છે. સુરતના પેટ્રોલ પંપ પર મિશ્ર પ્રતિસાદસુરતમાં આ ભાવ વધારાની જાહેરાત બાદ પેટ્રોલ પંપ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કેટલાક લોકો આ વધારાને અનિવાર્ય ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો સરકાર પાસે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. નોકરીયાત વર્ગ કે જેઓ ઓફિસ જવા માટે રોજેરોજ વાહનનો ઉપયોગ કરે છે, આ વધારાએ તેમનું બજેટ ખોરવી નાખ્યું છે. શહેરના મુખ્ય પેટ્રોલ પંપ પર સવારથી જ લોકો આ ભાવ વધારા અંગે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. ‘સરકારને સહકાર આપવો જોઈએ’શહેરના જાણીતા વકીલ વિજય જાલંધરાએ આ બાબતે તર્કબદ્ધ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધનો માહોલ છે, તેના કારણે આપણા ઈમ્પોર્ટ પર અસર પડી છે. જહાજો દ્વારા આવતા માલ પર યુદ્ધની અસરને લીધે ભાવ વધારાની સ્થિતિ સર્જાઈ છે. આ વૈશ્વિક સમસ્યા છે એટલે આપણે ડાયરેક્ટ સરકાર પર આક્ષેપ કરવાને બદલે વર્તમાન સ્થિતિમાં સરકારને સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે. ‘મધ્યમ વર્ગ માટે સંઘર્ષની સ્થિતિ’ બીજી તરફ, સામાન્ય નાગરિક ચેતન દિનેશભાઈ રાણાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, પેટ્રોલના વધતા ભાવ મધ્યમ વર્ગ માટે બહુ તકલીફવાળું કામ છે. અમારે અત્યારે ઘર ચલાવવા માટે બહુ વધારે સંઘર્ષ કરવો પડે છે. આ અચાનક આવેલો વધારો આર્થિક રીતે બોજ સમાન છે. સરકાર આ બાબતે કંઈક વિચારે અને લોકોને થોડી રાહત આપે તો સારું. અત્યારે તો સ્થિતિ ઘણી ગંભીર જણાઈ રહી છે. નોકરીયાત વર્ગના બજેટ પર 'બ્રેક' લાગીપ્રીમિયમ પેટ્રોલ વાપરતા લક્ઝરી બાઈક અને કાર ચાલકોમાં આ વધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાવર અને સ્પીડ પેટ્રોલના ભાવ વધતા હવે સામાન્ય પેટ્રોલ તરફ લોકો વળે તેવી શક્યતા છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ શાંત નહીં થાય તો આગામી દિવસોમાં સામાન્ય પેટ્રોલના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે, જે સામાન્ય જનતા માટે કપરા ચઢાણ સાબિત થશે.
અમદાવાદના મણીનગર વિસ્તારમાં મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'ચેટીચંદ મહોત્સવ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે 20 માર્ચ 2026, શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મણીનગરમાં એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ સિંધિ સમાજના ભાઈ-બહેનો, ભજન-કીર્તનની રમઝટ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર વિસ્તાર 'ઝૂલેલાલ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નીલ રોકસ્ટારની મ્યુઝિકલ નાઈટ બનશે મુખ્ય આકર્ષણઆ મહોત્સવનો ઉત્સાહ હજુ પણ બરકરાર રહેશે, કારણ કે 22 માર્ચ 2026, રવિવારના રોજ સાંજે 6 કલાકે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંજના મુખ્ય આકર્ષણ તરીકે જાણીતા ગાયક નીલ રોકસ્ટાર પોતાની મ્યુઝિકલ પાર્ટી સાથે ધૂમ મચાવશે. નીલ રોકસ્ટારના તાલે શ્રોતાઓ ઝૂમી ઉઠશે. આ ઉપરાંત, અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સિંધિ વિરાસતની ઝલક આપશે. સામાજિક એકતાનો સંદેશઆ કાર્યક્રમમાં સિંધિ સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજની એકતા વધારવાનો અને નવી પેઢીને પોતાની સંસ્કૃતિથી અવગત કરાવવાનો છે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગીરસોમનાથમાં માવઠુ, કેસર કેરી પર ખતરો બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં પલટો ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદને પગલે કેસર કેરી પર ખતરો... હજુ 24 કલાક વરસાદની આગાહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી ભગવાન ઝુલેલાલજીના જન્મોત્સવ 'ચેટીચંડ'ની ભવ્ય ઉજવણીના શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું... જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને કરાવ્યુ હતુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરના પ્રસંગની પત્રિકામાં વાઘાણી, નીમુબેનનું નામ નહિ ભાવનગરમાં 21-22 માર્ચે યોજાનાર ‘મિલેટ એક્સ્પો’ પહેલા આમંત્રણ પત્રિકામાં કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નામ અને સાંસદ-મંત્રી નિમુબેન બાંભણીયાનો ફોટો ગાયબ હોવાથી વિવાદ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચરામાં ફેંકાયા આયુષ્યમાન કાર્ડ! અંકલેશ્વરમાં અંસાર માર્કેટ પાસે કચરાના ઢગલામાંથી આયુષ્યમાન કાર્ડ દેખાયા.. તમામ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓના છે પ્રિન્ટિંગ થયા બાદ લાભાર્થીઓને વિતરણ ન કરાયાની શક્યતા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો INOX સિનેમા કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો રાજકોટના આર વર્લ્ડ INOX સિનેમાનો ડિસ્પ્લેમાં રાખેલા સેન્ડવીચ પર વંદો ફરતો હોવાનો વીડિયો વાઇરલ.. આ માત્ર ડિસ્પ્લે છે, ગ્રાહકને આપવામાં ન આવતી હોવાનો મેનેજરનો બચાવ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ-અમદાવાદ હાઈવે રક્તરંજિત, બેનાં મોત રાજ્યમાં આજે 3 એક્સિડન્ટમાં 4એ જીવ ગુમાવયા.... રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે ટ્રિપલ અકસ્માત, સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે પ્રચંડ ટક્કર સર્જાતાં હાઈવે રક્તરંજિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં અકસ્માત.. બસ ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો... સગીરનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાયુ ... સગીરનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈક સ્લીપ થઈને વૃદ્ધ પર આઈસરનું ટાયર ફરી વળ્યું, રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક બાઈક સ્લીપ થઈને આઈસરનું ટાયર વૃદ્ધના માથા પર ફરી વળ્યું ... અકસ્માતમાં બાઇક સવાર 60 વર્ષીય અશ્વીનકુમાર અગ્રાવતનું મોતઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 ચોપડી ભણેલો ચોર ATM પીન બદલી ખેલ કરતો ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કરી તેમની પાસેથી ચોરી કરતાં ચોરને રેલવે એલસીબીએ ઝડપી પાડ્યો છે.. ચોર મુસાફરો પાસે મિત્રતા કરી તેમને ઊંઘની ગોળીઓ આપી ચોરીને અંજામ આપતોઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં મામલે ફેરિયાઓ પરપ્રતિબંધ યથાવત સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો.. જે મુજબ જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિઓને મંજૂરી નહિ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચના ચુકાદા પર રોક લગાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચંદ્રુમાણામાં નવીન દરજીએ માતાની પુણ્યતિથિ ઉજવી:શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ, રાત્રે ભજન કીર્તન
ચંદ્રુમાણા ગામના સ્વાધ્યાય કાર્યકર અને દરજી સમાજના અગ્રણી નવીનભાઈ છોટાલાલ દરજી અને કનુભાઈ દરજીએ તેમની માતા સ્વ. લક્ષ્મીબાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક સુકૃત કાર્ય કર્યું. આ પ્રસંગે ચંદ્રુમાણાની પીએમશ્રી પ્રાથમિક શાળા, બાલ વાટીકા અને શ્રી ગૌરી વિદ્યાલયના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત રાત્રે ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું. નાસ્તાના વિતરણ કાર્યમાં શાળા પરિવાર, મિતેશભાઈ અને અન્ય ગ્રામજનો સહભાગી થયા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના શૈક્ષણિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના હેતુથી Austrade દ્વારા આયોજિત 'ઈન્ડિયન યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર્સ એન્ડ ફાઉન્ડર્સ ડેલિગેશન પ્રોગ્રામ'માં પારૂલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. ગીતિકા પટેલ સહભાગી થયા હતા. 5 દિવસના આ ઉચ્ચ સ્તરીય મિશનમાં તેમણે સિડની, કેનબેરા અને બ્રિસ્બેન જેવા શહેરોની મુલાકાત લઈ ઓસ્ટ્રેલિયાની શિક્ષણ પ્રણાલીના મુખ્ય હિતધારકો સાથે સંવાદ કર્યો હતો. ગ્લોબલ સમિટમાં ભવિષ્યનો રોડમેપ આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ 'યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયા સોલ્યુશન્સ સમિટ 2026' રહી હતી. ડૉ. ગીતિકા પટેલે અહીં વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, પ્રધાનો અને એમ્બેસેડર્સ સાથે મુલાકાત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ માટે મજબૂત મંચ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 1.25 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. પાર્ટનર યુનિવર્સિટીઓની મુલાકાત અને સહયોગડૉ. ગીતિકા પટેલે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી અને ચાર્લ્સ સ્ટુઅર્ટ યુનિવર્સિટી જેવી પાર્ટનર સંસ્થાઓની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. હાલમાં એગ્રીકલ્ચર હેઠળ 2+2 પાર્ટનરશિપ અને કમ્પ્યુટર સાયન્સમાં ફેકલ્ટી એક્સચેન્જ જેવા પ્રોગ્રામ્સ કાર્યરત છે. આગામી સમયમાં આ સહયોગને સ્ટાફ એક્સચેન્જ અને નવા શૈક્ષણિક વિષયો સુધી વિસ્તારીને વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલવામાં આવશે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ગૌચરની જમીન પર બનેલા ગેરકાયદેસર 'ઝીલિયા ફાર્મહાઉસ' પર બુલડોઝર ફેરવી દેવાની શરૂ આત થઈ ગઈ છે. આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં રહી છે આ ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હુમલા બાદ વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે ભાવેશ રબારીએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને 'ઝીલિયા ફાર્મહાઉસ'નું નિર્માણ કર્યું હતું. આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા આજે સાંજે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા ફાર્મહાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું. ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય અને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત છે અને દબાણ હટાવવાની પ્રક્રિયા બે જેસીબી મશીન દ્વારા ગેટ અને દીવાલ તોડવાની કામગીરી ચાલુ છે
કચ્છના નાના રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 19મી માર્ચે ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ અગરિયાઓના જીવનમાં જે વંટોળ સર્જ્યો હતો, તેના નુકસાનની વિગતો મેળવવા સરકાર પ્રથમવખત સત્તાવાર સર્વે હાથ ધરવા જઈ રહી છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારે 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ રણના ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરશે. કુદરતનો કહેર: 20 કરોડનું અંદાજિત નુકસાન 19મી માર્ચે આવેલા ભીષણ વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ કુદરતી આફતને કારણે મીઠા ઉદ્યોગને આશરે ₹15થી ₹20 કરોડનું મોટું નુકસાન થયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, મીઠાના ઉત્પાદન માટે વપરાતી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડીને ફંગોળાઈ ગઈ હતી. રણમાં સર્જાયેલી તારાજી ધારાસભ્યની સક્રિયતા અને સર્વેની જાહેરાત ખારાઘોડા ગ્રામપંચાયત અને અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહિતના આગેવાનોની રજૂઆત બાદ ધારાસભ્ય પી.કે. પરમારે તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, મેં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર પારેજીયા સાથે વાત કરી છે. આવતીકાલથી ટીમ રણમાં જશે અને રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલશે. અગરિયાઓને ફરીથી સોલર પેનલો મળે તે માટે પણ અમે આગ્રહ રાખ્યો છે. અગરિયાઓની મુખ્ય માંગણીઓ: છેલ્લા પાંચ વર્ષથી કુદરતી અનિયમિતતા સામે લડતા અગરિયાઓ માટે આ સર્વે આશાનું કિરણ લઈને આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા કેટલી ઝડપથી સહાયની રકમ આ શ્રમિકો સુધી પહોંચાડવામાં આવે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આંગણવાડી કાર્યકરોએ પોતાની પડતર માંગણીઓ માટે ત્રણ દિવસીય હડતાળના અંતિમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આ આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કુલ 12 માંગણીઓ સ્વીકારવા અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય માંગણીઓમાં પગાર વધારાનો સમાવેશ થાય છે. હડતાળના ત્રીજા અને છેલ્લા દિવસે, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને સેજાની બહેનો મોટી સંખ્યામાં મોડાસા ચારરસ્તા ખાતે એકત્ર થઈ હતી. તેમણે પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને ધરણા પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિયનના આગેવાનો ઉર્મિલાબેન, ડાયાભાઈ જાદવ, ચંદ્રપાલસિંહ ખાંટ, રાકેશ તરાર અને મહેન્દ્રસિંહ પગી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ઉર્મિલાબેને સંબોધન કરતા સંગઠનની તાકાત વધારવા અને એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમ શુક્રવાર, 20 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે દિનદયાળ ચોક, બોટાદ ખાતે યોજાયો હતો.કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉનાળાની ઋતુમાં ચકલીઓ અને અન્ય પંખીઓ માટે પાણી અને આશ્રયની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ તેનો ઉદ્દેશ્ય હતો.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘર, દુકાન, ઓફિસ કે આસપાસના વિસ્તારોમાં ચકલીના માળા અને પાણીના કુંડા મૂકી પંખી સંરક્ષણમાં સહભાગી બને. આ પ્રસંગે ફેડરેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ઉપપ્રમુખ ડૉ. પરેશભાઈ દરજી અને દિપકભાઈ માથુકિયા, પૂર્વ પ્રમુખ ડૉ. આનંદભાઈ ત્રિવેદી, રાજુભાઈ ડેરૈયા, સંજયભાઈ પટેલ, વિજયભાઈ ઝીંઝુવાડીયા, રાજુભાઈ ઓઝા, ધવલભાઈ રોજેસરા, યોગેશભાઈ મસોયા, ભરતભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો, નાગરિકો અને સેવાભાવી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
રાજકોટના આંગણે આગામી તારીખ 21 અને 22 માર્ચ, 2026 દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 'સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિ'ના ધ્યેય સાથે યોજાનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. મિલેટ વાનગીઓ અને ઓર્ગેનિક ખેતીનું આકર્ષણરાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે આ બે દિવસીય મેળાનું આયોજન થયું છે. આ મહોત્સવમાં ખાસ કરીને 'શ્રી અન્ન' એટલે કે મિલેટમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓ અને વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન યોજાશે. આજના આધુનિક યુગમાં વિસરાતા જતા બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યોનું મહત્વ સમજાવવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. ખેડૂતો સાથે સીધો સંવાદ અને ખરીદીઆ મહોત્સવની મુખ્ય વિશેષતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ્સ છે. અહીં રસાયણમુક્ત અને શુદ્ધ કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. શહેરના નાગરિકો વચેટિયાઓ વગર સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત આહારની ખરીદી કરી શકશે. આ માર્કેટ 21 અને 22 માર્ચના રોજ સવારે 09:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી તમામ લોકો માટે ખુલ્લું રહેશે.
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જનક તળાવિયા, હિરા સોલંકી અને જે.વી. કાકડિયા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા અગાઉના પેન્ડિંગ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને જોડતા રસ્તાઓ, જમીન માપણી, વીજ જોડાણ, જંગલ કટીંગ, નેશનલ હાઈવે સંલગ્ન ગામોમાં સર્વિસ રોડની માંગણી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ મુદ્દે અત્યાર સુધીની પ્રગતિલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને પરસ્પર સંકલન સાધવા અને ઘટતું કરવા નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ, બગસરા, ધારી, સાવરકુંડલા-લાઠીના પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લામાં 624 પ્રકલ્પોને મંજૂરી:પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં રૂ. 16.50 કરોડ ફાળવાયા
તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 ની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 માટે રજૂ થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લાના 8 તાલુકાઓ માટેના 624 જેટલા વિવિધ પ્રકલ્પો માટે કુલ રૂ. 16.50 કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી ડો. જયરામ ગામીત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વની છે. તેમણે સંબંધિત અધિકારીઓને આ લોકઉપયોગી કામો સમયમર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકલ્પો પૂર્ણ થવાથી જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચશે અને જનસુવિધામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે પડતર કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરીને આયોજનબદ્ધ રીતે આગામી કામો હાથ ધરવા પણ સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટર ડો. વિપીન ગર્ગે પણ સંબંધિત વિભાગ તથા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રી નરેશ પટેલે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા આયોજન અધિકારી કે.વી. પટેલે આયોજન મંડળની બેઠકની રૂપરેખા રજૂ કરી હતી અને અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. ફાળવેલી રકમથી વિવિધ તાલુકાઓમાં રોડ, પેવર બ્લોક, પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી સહિતના અનેક કામો હાથ ધરવામાં આવશે. આનાથી પ્રજાસુખાકારી સુનિશ્ચિત થશે. આ બેઠકમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ, મોહન કોંકણી અને મોહન ઢોડિયા, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં રાંધણગેસ (LPG)ની અછત અંગે ચાલી રહેલી અફવાઓને રાજ્ય સરકારે નકારી કાઢી છે. સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યભરમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નાગરિકોને ગેસ સિલિન્ડર માટે એજન્સી પાસે જઈને લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે ડિજિટલ બુકિંગ દ્વારા ઘર સુધી સિલિન્ડર પહોંચાડવાની સુવ્યવસ્થા કાર્યરત છે. રજીસ્ટર્ડ મોબાઇલ નં. દ્વારા ક્લિકમાં સિલિન્ડર બુક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને સરળતા રહે તે માટે વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVRS, મોબાઇલ એપ્લિકેશન અને ઑનલાઇન પોર્ટલ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ગ્રાહકો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા થોડા જ ક્લિકમાં સિલિન્ડર બુક કરી શકે છે અને બુકિંગ બાદ ઘરે જ ડિલિવરી મળે છે. ડિજિટલ બુકિંગથી સરળતા ને SMS દ્વારા કન્ફર્મેશનઇન્ડિયન ઓઇલ, HP ગેસ અને ભારત ગેસ જેવી કંપનીઓ દ્વારા અલગ-અલગ પ્લેટફોર્મ પર બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. IndianOil ONE, HP PAY અને Hello BPCL જેવી એપ્લિકેશન તેમજ સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ સરળતાથી બુકિંગ થઈ શકે છે. બુકિંગ બાદ ગ્રાહકોને SMS દ્વારા કન્ફર્મેશન પણ મોકલવામાં આવે છે. રાજ્યમાં પૂરતા સ્ટોક અને નિયમિત સપ્લાયનો દાવોખેડા, મોડાસા અને અન્ય વિસ્તારોના ગ્રાહકો મુજબ હાલ ગેસ સપ્લાયમાં કોઈ મુશ્કેલી નથી. બુકિંગ બાદ સમયસર સિલિન્ડર મળી રહે છે અને ડિલિવરી વ્યવસ્થા સંતોષજનક છે. ગેસ એજન્સી સંચાલકો પણ રાજ્યમાં પૂરતા સ્ટોક અને નિયમિત સપ્લાયની પુષ્ટિ કરે છે. કાળાબજારીઓ કરતાં લોકો પર મોનિટરિંગLPG વિતરણમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકારે રેવન્યૂ અને પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. તેઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નાગરિકોને સમયસર પુરવઠો મળી રહે. આ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશોLPG સંબંધિત કોઈ સમસ્યા કે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222 જાહેર કરવામાં આવ્યો છે. સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં જેની ગણના થાય છે તેવા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. શહેરના અત્યંત આધુનિક અને પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે. આ પ્લોટ હવે જાણે નાની ડમ્પિંગ સાઈટ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગાર્ડન વેસ્ટ અને પ્લાસ્ટિકના કચરાથી આખો પ્લોટ ખદબદી રહ્યો છે, જેનો આસપાસની આલીશાન બિલ્ડિંગોમાં રહેતા હજારો રહીશો સામનો કરી રહ્યા છે. સૂકો કચરો હોવાને કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકેઅલથાણના આ પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી શહેરના બગીચાઓમાંથી નીકળતો ગાર્ડન વેસ્ટ એટલે કે સૂકા પાંદડા, ડાળીઓ અને ઘાસ નાખવામાં આવી રહ્યું છે. આ કચરાની સાથે સાથે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અન્ય કચરો પણ અહીં ઠાલવવામાં આવતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે. સૂકો કચરો હોવાને કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ સૂકો કચરો સામાન્ય તણખલાથી પણ ભભૂકી ઉઠે તેમ છે. કચરામાંથી સતત આવતી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યોઆ પ્લોટની બિલકુલ સામે મોટી અને ઊંચી રહેણાંક બિલ્ડિંગો આવેલી છે. હજારો પરિવારો અહીં વસવાટ કરે છે. સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે, પ્લોટમાં જમા થયેલા કચરામાંથી સતત દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. સૌથી મોટો ડર આગનો છે. રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ અહીં એકથી બે વખત આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. સુરત માટે ખજોદ ડમ્પિંગ સાઈટ હંમેશા વિવાદનું કેન્દ્રખજોદ ખાતે કચરાના નિકાલ અને ત્યાં લાગતી આગને કારણે આસપાસના વિસ્તારોમાં ફેલાતા પ્રદૂષણનો મુદ્દો હજુ શમ્યો નથી. હાઈકોર્ટ અને ગ્રીન ટ્રિબ્યુનલ સુધી આ મામલો પહોંચ્યો છે. તેવામાં શહેરની અંદર, ખાસ કરીને અલથાણ જેવા રહેણાંક વિસ્તારમાં નવો ખજોદ ઉભો થઈ રહ્યો હોય તેમ જણાય છે. તંત્ર એક તરફ મોટી વાતો કરે છે અને બીજી તરફ પોતાના જ પ્લોટમાં કચરો જમા થવા દે છે, જે પાલિકાની બેવડી નીતિ છતી કરે છે. કોર્પોરેશનના માલિકીના પ્લોટમાં જ કચરાના ઢગલા અધિકારીઓની બેદરકારીસુરત મહાનગરપાલિકાના હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. છતાં, પોતાના માલિકીના પ્લોટમાં જ કચરાના ઢગલા થવા તે અધિકારીઓની બેદરકારી સૂચવે છે. શું પાલિકા પાસે આ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ ચોક્કસ પ્લાન્ટ નથી? શું પ્લાસ્ટિકના કચરાને અલગ કરવાની પ્રક્રિયા માત્ર કાગળ પર જ ચાલે છે?
વાવાઝોડાથી સંચાણામાં 50થી 60 માછીમારી બોટને નુકસાન:માછીમારોની આજીવિકા પર અસર, સરકારી સહાયની માગ
સંચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 થી 60 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. તાલુકા પંચાયતના માજી સભ્ય કસમ કકલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બપોરના 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે બોટોને મોટું નુકસાન થયું છે. કેટલીક બોટો તો સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને બિનઉપયોગી બની ગઈ છે. કકલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી ફિશરીઝ વિભાગના કોઈ પણ અધિકારીએ સ્થળ પર આવીને નુકસાનીનું નિરીક્ષણ કર્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી છે કે અધિકારીઓ રૂબરૂ આવીને નુકસાનીનો સર્વે કરે. માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે સરકાર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે, જેથી આ ગરીબ માછીમારોને આર્થિક ટેકો મળી શકે અને તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
લીંબડીમાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ₹1.46 લાખના 480 KG એલ્યુમિનિયમ વાયર સાથે એક ઝડપ્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના રાસ્કા ગામની સીમમાં થયેલી ઇલેક્ટ્રિક વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી, ચોરી થયેલા આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, જેની કિંમત ₹1,46,928 છે, તે જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને ઘરફોડ ચોરીઓ અને ઇલેક્ટ્રિક વાયર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને મુદ્દામાલ સાથે તાત્કાલિક પકડવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને નિર્દેશ આપ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે, ટીમે લીંબડી-ચોટીલા હાઈવે રોડ પર કાંધાસરના પાટિયા પાસે એક અવાવરુ જગ્યામાંથી ચોરી કરીને છુપાવેલા આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર કબ્જે કર્યા હતા. પોલીસે ₹1,46,928 ની કિંમતના આશરે 480 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર જપ્ત કર્યા છે. આ ગુનામાં કિશનલાલ મોહનલાલ ગુર્જર (રહે. ગામ ડીડવાના, તા. આમેટ (પારદી), જિ. રાજસમન્દ, રાજસ્થાન) નામના એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર છે, જેમાં કૈલાશસિંહ ઉર્ફે જીવરાજસિંગ (હાલ રહે. ટંકારા, મૂળ રહે. બ્યાવર, રાજસ્થાન), પ્રહલાદ નકુલભાઈ રાઉત (હાલ રહે. આણંદપર, સિલ્વર કારખાનાની ઓરડીમાં, જિ. જામનગર, મૂળ રહે. ભીખમપુર, પો.સ્ટ. ભેરવપર, થાના જામા, જિ. દુમકા, ઝારખંડ), શ્રવનસિંગ, રાજુ અને અન્ય બે અજાણ્યા ઇસમોનો સમાવેશ થાય છે.
જૂનાગઢમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી દીધો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સમયે ત્રણથી ચાર બાઈક શોરૂમના માલિક એવા ભાવિન ઉર્ફે રાજુભાઈ કુંભાણી આજે એક નોકરી માટે ફાફા મારી રહ્યા છે. રાજુભાઈએ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે વ્યાજના ચક્રમાં તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જૂનાગઢ છોડવાની ફરજ પડી છે. આ મામલે રાજુભાઈના પિતાએ પણ રડતી આંખે ન્યાયની માંગ કરી છે. જોકે ગૌરવ રૂપારેલિયાએ આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી કહ્યું છે કે સાબિત કરો. 'મજબૂરીમાં 6 વીઘા જમીનનો દસ્તાવેજ 40 લાખના વ્યાજ સામે કરી આપ્યો' રાજુભાઈ કુંભાણીએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે મારે ગીર સોમનાથ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં બાઈક શોરૂમની ડીલરશીપ હતી. 2018માં ધંધા માટે રૂપિયાની જરૂર પડતા મને જાણ થઈ કે ગૌરવભાઈ રૂપારેલીયા વ્યાજે રૂપિયા આપે છે. મેં તેમનો સંપર્ક કર્યો ત્યારે ગૌરવભાઈ અને તેમના પિતા હાજર હતા. તેમણે મને 3 ટકા લેખે વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું પણ શરત મૂકી કે સાટાખત નહીં પણ જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મારે મજબૂરીમાં 6 વીઘા જમીનનો દસ્તાવેજ 40 લાખના વ્યાજ સામે કરી આપ્યો. ‘કુલ મળીને લગભગ દોઢ કરોડ રૂપિયા મેં ગૌરવભાઈને આપ્યા છે’ગૌરવભાઈએ મારા પિતાના ખાતામાં 20 લાખ ટ્રાન્સફર કર્યા અને બાકીના રોકડા આપ્યા હતા. મેં દોઢ વર્ષ સુધી દર મહિને 3 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું. 40 લાખ સામે મેં 40 લાખનું તો વ્યાજ ભર્યું અને કુલ મળીને લગભગ દોઢ કરોડ રૂપિયા મેં ગૌરવભાઈને આપ્યા છે. તેમ છતાં મારી 6 વીઘા જમીન પાછી આપવાને બદલે મારી જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી દીધી અને તેમાંથી પણ 60 લાખ રૂપિયા મેળવી લીધા. આ વ્યાજના ચક્રને કારણે મારો ધંધો બંધ થઈ ગયો, મકાન વેચાઈ ગયું અને મારે ભાડે રહેવાનો વારો આવ્યો છે. રાજુભાઈએ એમ પણ કહ્યું કે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઝુંબેશને જોઈને હું સામે આવ્યો છું. મારો નાર્કો ટેસ્ટ કરવો હોય તો પણ છૂટ છે. જો ન્યાય નહીં મળે તો હવે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પિતા ભુવાનભાઈની રડતી આંખે આપવીતીરાજુભાઈના પિતા ભુવાનભાઈ કુંભાણીએ રડતા રડતા જણાવ્યું કે, હું રિટાયર્ડ બેંક ઓફિસર છું. મારો દીકરો ખૂબ મહેનતુ હતો, તેને કંપનીએ જાપાનની ટૂર પણ કરાવી હતી. પરંતુ ધંધામાં રૂપિયાની જરૂર પડતા તે ગૌરવ રૂપારેલીયાના સંપર્કમાં આવ્યો અને બધું જ ગુમાવ્યું. મારા નામે રહેલી 6 વીઘા જમીન જેની કિંમત વીઘાના 20 લાખ છે તે વ્યાજના ચક્રમાં પચાવી પાડવામાં આવી છે. પોલીસ ફરિયાદ કરે અને આક્ષેપો સાબિત કરી બતાવે: શહેર ભાજપ પ્રમુખઆ અંગે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ કહ્યું કે, મીડિયામાં આક્ષેપો કરવા સહેલા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત કરી બતાવે. આ તમામ વાતો પાયા વિહોણી છે. જો તેમને કોઈ તકલીફ હોય તો તે આ મામલે પોલીસ ફરિયાદ કરી શકે છે. પૂર્વ યુવા પ્રમુખે પણ અગાઉ કર્યા હતા આક્ષેપનોંધનીય છે કે, આ પહેલા જૂનાગઢ શહેરના પૂર્વ યુવા પ્રમુખ તેજસ જોશીએ પણ ગૌરવ રૂપારેલીયા પર વ્યાજખોરીના આક્ષેપો કર્યા હતા. હવે વધુ એક વેપારી પરિવાર સામે આવતા જૂનાગઢના રાજકારણમાં અને વ્યાજખોરીના કિસ્સામાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ પણ વાંચો ‘શહેર ભાજપ-પ્રમુખની વ્યાજખોરીને કારણે અનેક લોકો બરબાદ થયા’થોડા દિવસ પહેલા જૂનાગઢના પૂર્વ યુવા ભાજપ-પ્રમુખ તેજસ જોષીએ સ્મશાનના ઓટલે બેસી શહેર ભાજપના વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ ઉપપ્રમુખ પુનિત શર્મા પર ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેજસ જોષીએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજે રૂપિયા ફેરવે છે અને વ્યાજખોરીના કારણે નાના-મોટા લોકો બરબાદ થયા છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં પણ પોતાના અંગત વહીવટદારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને ગોઠવી દીધા છે તેમજ PMOમાં પણ પુરાવા મોકલ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
મોરબી જિલ્લામાં જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉનાળાને ધ્યાનમાં રાખીને જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ અને ભારે પવનથી થયેલા નુકસાન તેમજ રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણી અંગે વડોદરાના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યોની પણ હાજરીતાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કામ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે અને આગામી સમયમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અપેક્ષિત ઉમેદવારો ઉપરાંત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી શરૂ થાય ત્યારથી અંત સુધીમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવી તે અંગેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપર ભાજપની સત્તાહાલમાં વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત ઉપર ભાજપની સત્તા છે. ત્યારે આગામી સમયમાં પણ ભાજપનો વિજય થાય અને જ્યાં ઓછી લીડ મળે છે ત્યાં લીડમાં વધારો થાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માવઠા બાદ નુકસાન અંગે પણ રજૂઆત થશેવડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં ચૂંટણીઓમાં ભાજપના જવલંત વિજય થાય તે માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે આવેલા માવઠાના કારણે અનેક વિસ્તારમાં નુકસાન પણ થયું છે ત્યારે આ અંગેની રજૂઆત પણ સરકારમાં કરવામાં આવશે અને ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવામાં આવે તે અંગેની વ્યવસ્થા કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું છે.
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ મહત્વપૂર્ણ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. 23 માર્ચે યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામોની ચકાસણી કરી શકશેઆયોગે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કર્યું છે. આ નવા સીમાંકનને આધારે વિધાનસભાની તાજી ફોટોવાળી મતદારયાદી પરથી પંચાયતવાર નવી યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જાહેર કાર્યક્રમ મુજબ 23 માર્ચે યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામોની ચકાસણી કરી શકશે. જો કોઈ ભૂલ કે નામ ન હોય તો 27 માર્ચ સુધી દાવા-આક્ષેપો રજૂ કરી શકાશે. ત્યારબાદ આક્ષેપોની તપાસ પૂર્ણ કરીને 30 માર્ચ સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે અને પછી આખરી મતદારયાદી જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બનીચૂંટણીને પારદર્શક બનાવવા માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે જ મતદાર નોંધણી અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નમૂના-2 મુજબ ચોક્કસ અને અપડેટેડ યાદીઓ તૈયાર કરે. ખાસ વાત એ છે કે ઉમેદવારી પત્રોની છેલ્લી તારીખ સુધી પૂરવણી મતદારયાદી દ્વારા નામ ઉમેરવા, સુધારવા અથવા કાઢવાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેના કારણે મતદારોને વધુ તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે.
વિશ્વ ચકલી દિવસે બનાસકાંઠામાં પક્ષીઘર-કુંડાનું વિતરણ:જિલ્લાના દરેક તાલુકામથકે 10 હજાર વસ્તુઓ અપાશે
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ખાતે પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની શરૂઆતમાં અબોલ પંખીઓને દાણા-પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલના હસ્તે યોજાયો હતો. જેમાં હોમગાર્ડઝની બહેનો, કલેક્ટર કચેરીના કર્મચારીઓ, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલીઘર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલે જીવદયાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિ દ્વારા જિલ્લાના દરેક તાલુકામથકે આવા કાર્યક્રમો થકી અંદાજે 10 હજાર જેટલા માળા, પક્ષીઘર અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અંગે ડો.ગણેશભાઈ પટલે જણાવ્યું હતું કે ' 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ. ચકલીની ઘટતી જતી વસ્તીને નિયંત્રણ કરવા માટે અને એનો વસ્તી વધારો કરવા માટે, એની સંખ્યા વધારવા માટે SPCA મારફતે અમે છેલ્લા 2010માં SPCA ની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ લગીને દર વર્ષે બર્ડ ફીડર, પાણીના કુંડા, ચકલીના માળા એનું અમે રેગ્યુલર રીતે વિતરણ કરીએ છીએ.બનાસકાંઠાના દરેક તાલુકા મથકે, આજના કલેકટર ઓફિસથી શરૂઆત કરીએ છીએ બનાસકાંઠા અને જિલ્લામાં દરેક તાલુકા મથકે મામલતદાર ઓફિસે આ રીતના કાર્યક્રમો કરી અને લગભગ દર વર્ષે 10,000 જેટલા યુનિટનું અમે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ.અને આજે જે શહેરીકરણ વધી રહ્યું છે અને ચકલીની જે વસ્તી ઘટતી રહી છે એને ઉપયોગી થાય અને પર્યાવરણ પણ સારું થાય, એનું જતન થાય, પ્રકૃતિનું જતન થાય એ માટેના અમારા SPCAના અમારા પદાધિકારીઓ, અમારા ઉપપ્રમુખ, અમારા સભ્યઓ અને કલેકટર ના માધ્યમથી અમે આ બધાનું વિતરણ કરીએ છીએ.'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે, આ વિસ્તારના જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચ, 2026ના તે ચુકાદા પર રોક લગાવી દીધી છે. AMCની અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનવણી દરમિયાન આ આદેશ પસાર કર્યો હતો. હાઈકોર્ટના અગાઉના ચુકાદામાં ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ મ્યુનિસિપલ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. આ નિર્દેશો શનિવાર, 21 માર્ચથી અમલમાં આવવાના હતા. સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો AMC વતી હાજર રહેલા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે અમદાવાદના સૌથી ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ એવા આ વિસ્તારમાં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર પડનારી ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને, સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. '1,500થી વધુ ફેરિયાઓએ જાહેર માર્ગો અને ફૂટપાથ પર કબજો જમાવ્યો હતો'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરી હતી કે તેમની અમલીકરણ ઝુંબેશ પહેલા 1,500થી વધુ ફેરિયાઓએ જાહેર માર્ગો અને ફૂટપાથ પર કબજો જમાવ્યો હતો, જેના પરિણામે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. આના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડતી હતી અને એમ્બ્યુલન્સ તેમજ ફાયર સર્વિસ જેવા ઈમરજન્સી વાહનો માટે પણ આ વિસ્તારમાં પહોંચવું અશક્ય બની જતું હતું. જો કે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની આ રજૂઆત સ્વીકારી ન હતી.
વલસાડ SPએ 126 પોલીસકર્મીઓની બદલી કરી:વહીવટી સરળતા માટે ASI, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કર્મીઓનો સમાવેશ
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ કર્યો છે. તેમણે એકસાથે 126 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે લેવાયો છે. બદલી કરાયેલા કર્મીઓમાં 8 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI), 82 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, તેમજ 36 મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મીઓને તાત્કાલિક અસરથી નવી નિમણૂક પર હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીઓમાં વલસાડ સિટી, વલસાડ રૂરલ, વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર, પારડી, ધરમપુર, કપરાડા અને ડુંગરી જેવા મહત્વના પોલીસ સ્ટેશનોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને ફિલ્ડમાંથી ઓફિસ કામગીરીમાં તો કેટલાકને એક પોલીસ સ્ટેશનથી બીજા અંતરિયાળ પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે કે, આ તમામ બદલીઓ વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બદલી પામેલા તમામ 126 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી જગ્યાએ હાજર થઈ રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે. સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં થતી બદલીઓને પોલીસ તંત્રને વધુ સજ્જ કરવાના ભાગરૂપે જોવામાં આવે છે. ખાસ કરીને પારડી અને વાપી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
ગુજરાતમાં હોસ્પિટલોની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ સુરતના ધારાસભ્યએ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરીને લોકોને છેતરવાના કામો કરતી ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી અને વાતો ‘હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથીAAP યુવા નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, સુરતના મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી. દર્દીઓના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે. હાલ સુરતની સ્થિતિ એટલી કથળી ગઈ છે. આ બાબતે ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ આ અવાજને ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. કોઈ રીતે લોકો અવાજ ન ઉઠાવે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે. જો ખરેખર લોકોના વિકાસ માટે, આરોગ્ય માટે અને શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હોત, તો આજે 30 વર્ષ પછી પણ ગુજરાતની આવી સ્થિતિ ન હોત. 30 વર્ષ પછી પણ આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથીAAP નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, જે સુરતમાં આરોગ્ય મંત્રી પોતે રહે છે, એ જ શહેરમાં સિવિલ હોસ્પિટલની આવી કથળી ગયેલી પરિસ્થિતિ હોય, તો આખા ગુજરાતની કેવી સ્થિતિ હશે? એવું નથી કે આરોગ્ય મંત્રીને આ બાબતે ખબર નથી. તેમને પણ ખબર છે કે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તેમણે પોતે પણ સારવાર લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે અને ત્યાંથી સારવાર લઈને પાછા આવે છે. એક તરફ સરકાર લોકો સમક્ષ આરોગ્ય સુવિધાઓની મોટી મોટી વાતો કરે છે અને વાહવાહી લૂંટે છે. તેમને આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવા જોઈએ. આજે 30 વર્ષ પછી પણ જો આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથી, અને આરોગ્ય મંત્રીને પોતે સારવાર માટે બહાર જવું પડે છે, તથા તેમની જ પાર્ટીના ધારાસભ્ય કહે છે કે, સિવિલ હોસ્પિટલની સ્થિતિ કથળી ગઈ છે, તો આથી વધુ શું કહી શકાય? શું ઘટના હતી?થોડા દિવસ પહેલા ઉધના વિસ્તારમાં રહેતા 7 વર્ષીય આયુષનો પગ લપસી જતા તેને પગના ભાગે ઇજા પહોંચી હતી. ઘટના બાદ માતા-પિતા તાત્કાલિક તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં કિડની બિલ્ડિંગમાંથી સારવાર કરાવી હતી. ત્યારબાદ વ્હીલચેર નહીં મળતા લાચાર બનેલા પિતા બાળકને ઊંચકીને લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધા પણ સમયસર ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
વડોદરામાં ટ્રેનમાં નશીલો પદાર્થ ભેળવેલું પાણી પીવડાવી પિતા-પુત્રને બેભાન કરી રૂપિયા 1.22 લખાની ચોરી કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે સુરતના રહેવાસી યુવકે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો વ્યક્તિ તેમની સામેની સીટ પર આવી બેસી ગયોમૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સુરતમાં રહેતા સીરાજુલ ઇસ્લામ શેખ પોતાના પિતાને વતન મોકલવા માટે વડોદરા રેલવે સ્ટેશનથી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ઉપડ્યા બાદ થોડા જ સમયમાં એક અજાણ્યો વ્યક્તિ તેમની સામેની સીટ પર આવી બેઠો અને વાતચીત શરૂ કરીને વાતોમાં ભોળવી પિતા-પુત્રનો વિશ્વાસ કેળવ્યો હતો. પાણી પીધા બાદ બંનેને ચક્કર આવતા બેભાન થઈ ગયા થોડીવાર બાદ આરોપીએ પિતાને પાણી પીવા માટે બોટલ આપી હતી. પિતાએ પાણી પીધા બાદ સીરાજુલે પણ થોડું પી લીધું હતું. પાણી પીધા બાદ બંનેને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે હોશમાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીએ તેમના મોબાઇલમાંથી બંને સિમકાર્ડ કાઢી લીધા હતા અને પેન્ટના ખિસ્સામાંથી પર્સ ચોરી લીધું હતું. ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા બેંક ખાતામાંથી 1.20 લાખ ઉપાડી લીધાપર્સમાંથી રોકડ તથા એટીએમ કાર્ડ લઈ લીધા હતા. આરોપીએ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા બેંક ખાતામાંથી 1.20 લાખ ઉપાડી લીધા હતા. આરોપીએ કુલ રૂપિયા 1.22 લાખાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આંગણવાડી ક્ષેત્રે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. શહેર અને સાવલી પંથકની આંગણવાડી મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડી હતી અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી મહિલા કર્મચારી દ્વારા 3 દિવસથી વિરોધ પ્રદર્શન છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતરેલી આ મહિલાઓએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સરકાર વિરોધી નારા લગાવી પોતાની વ્યથા ઠાલવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ પોતાની માંગણીઓ વધુ ઉગ્ર બનાવી હતી. વડોદરા કલેક્ટર કચેરી ખાતે ભારે ચહેલપહેલ જોવા મળી હતી. વેતનમાં વધારો કરવાની માગમહિલા કર્મચારીઓની મુખ્ય માંગણી તેમના વેતનમાં સન્માનજનક વધારો કરવાની છે. પ્રદર્શનકારી મહિલાઓના જણાવ્યા મુજબ, વર્તમાન મોંઘવારીના જમાનામાં તેમને મળતું માનદ વેતન અત્યંત ઓછું છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધારાની કામગીરીનો બોજ ઓછો કરવા માગઆ ઉપરાંત, આંગણવાડીના નિયમિત કામ સિવાય તેમની પાસેથી અન્ય સરકારી કામગીરી પણ કરાવવામાં આવે છે, જેના કારણે તેમના પર કામનું ભારણ અસહ્ય વધી ગયું છે. વધારાની કામગીરીનો બોજ ઓછો કરવાની માંગ સાથે મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી, જેને પગલે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલીઆંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને પગાર વધારા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો આ વિરોધ અને હડતાળ ચાલુ રહેશે. 'સર્વેના નામે શોષણ કરવાનું બંધ કરે'મહિલાઓએ આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે, સરકાર ડિજિટલ કામગીરી અને અન્ય સર્વેના નામે તેમનું શોષણ કરવાનું બંધ કરે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે થયેલા આ વિરોધ પ્રદર્શને વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે આંગણવાડી બંધ રહેવાથી બાળકો અને સગર્ભા મહિલાઓને મળતી પોષણક્ષમ સહાય પર પણ અસર પડી રહી છે.
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી ગટર તેમજ ડ્રેનેજ લાઇનના અનેક ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં ક્યારેક કોઈક પશુ તો ક્યારેક કોઈ વ્યક્તિ પણ ખાબક્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરના અટલાદરા વિસ્તારમાં વરસાદી ગટરનું એક ઢાંકણું તૂટેલી હાલતમાં હતું જેમાં એક ગાય ખાબકતા તેનું મોત નીપજ્યું હતું. જેસીબીની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી અટલાદરા વિસ્તારમાં તલાટી ઓફિસની નજીક વરસાદી ગટરમાં અચાનક એક ગાય ખાબકી હતી. ત્યાંથી આવન જાવન કરતા લોકોએ આ ગાયને વરસાદી ગટરમાં જોયા તેઓએ તંત્રને જાણ કરી હતી જો કે આ ગાયનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ગાયના મૃત્યુના કારણે અનેક જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ક્યાં સુધી તંત્રના પાપે અકસ્માત સર્જાશે?વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગેની ફરિયાદ વારંવાર મળે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા તે અંગેનું યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે અનેક લોકો એવા સવાલ કરી રહ્યા છે કે ક્યાં સુધી પાલિકાની ઘોર બેદરકારી અટકશે. ક્યારે આવા અકસ્માતો અટકશે? કેટલાક સ્થળોએથી ઢાંકણા ચોરાઈ ગયા છેવડોદરા શહેરમાં કેટલીક વખત ગટર સાફ માર્યા બાદ તેના ઉપર યોગ્ય રીતે ઢાંકણા મૂકવામાં આવતા નથી. તો કેટલાક વિસ્તારોમાં તો ગટરના ઢાંકણા ચોરાઈ ગયા છે. ઢાંકણા ચોરાઈ ગયા બાદ કેટલાય દિવસો સુધી તેના ઉપર નવા ઢાંકણા લગાવવામાં આવતા નથી. જેના કારણે આવા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે પાલિકા તંત્રએ વિવિધ વિસ્તારોમાં ગટર ખુલ્લી ન રહે તે અંગેનું ધ્યાન આપવાની જરૂર છે.
ભાવનગર મહાનગરપાલિકાની લાલ આંખ:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર ભાડૂઆતો રાખનારા 15 આવાસો સીલ
શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ અને રૂવા વિસ્તારની આવાસ યોજનાઓમાં હાથ ધરવામાં આવેલા સર્વે બાદ, નોટિસની અવધિ પૂર્ણ થવા છતાં ખુલાસો રજૂ ન કરનારા કુલ 15 આવાસોને આજે સીલ મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની સાત અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં અનેક આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય વ્યક્તિઓ રહેતી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તરસમીયા રોડ સ્થિત પ્લોટ નં.46 ના 13 આવાસો અને રૂવા રીંગ રોડ પરના પ્લોટ નં.104 ના 2 આવાસો મળી કુલ 15 મકાનો સામેકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, રૂવા લીલા ઉડાન સામે આવાસ યોજનામાં કાર્યવાહી રૂવા ખાતે ફાઇનલ પ્લોટ નં.104 પર આવેલ 120 આવાસોમાં ગત તા.3/2/2026 ના રોજ મનપા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પર 34 ભાડૂઆતો, 49 મૂળ લાભાર્થીઓ અને 37 બંધ મકાનો મળી આવ્યા હતા, 34 ભાડૂઆતોને 7 દિવસમાં મકાન ખાલી કરવા અને જરૂરી ખુલાસો તેમજ સોસાયટીની NOC રજૂ કરવા નોટિસ અપાઈ હતી, સમયમર્યાદા પૂરી થવા છતાં 2 મકાનમાલિકોએ સંતોષકારક ખુલાસો ન આપતા આજે 2 આવાસોને સીલ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો, તરસમીયા રોડ (મહાદેવ નગર સામે) આવાસ યોજનામાં કાર્યવાહી તરસમીયા રોડ પર ફાઇનલ પ્લોટ નં.46 ના 252 આવાસોમાં તા.12/2/2026 ના રોજ સાત ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો, તપાસ દરમિયાન 94 ભાડૂઆત, 92 મૂળ લાભાર્થી અને 66 બિન-રહેણાંક આવાસો નોંધાયા હતા, જેમાં 67 મકાનો બંધ હતા અને આસપાસના લોકો કે પ્રમુખે સહકાર ન આપતા તેને શકના દાયરામાં રાખવામાં આવ્યા હતા, કુલ 94 ભાડૂઆતી મકાનોને ખાલી કરવા નોટિસ આપી બાંહેધરી અને NOC મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી 13 મકાનમાલિકોએ નિયત સમયમાં ખુલાસો રજૂ ન કરતા આજે 13 આવાસોને સીલ મારી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતની વરાછા પોલીસે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. માત્ર 50 રૂપિયાની ઉઘરાણી જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી નાસી છૂટેલો આરોપી રાજેશ રાય આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે સુરત પોલીસની ટીમે ઝારખંડના જંગલોમાં સાત દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું. શું હતી સમગ્ર ઘટના?2008માં સુરતના વરાછા વિસ્તારમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. 40 વર્ષીય આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન (રહે. ઝારખંડ)એ બબલુ નામના યુવક પાસે 50 રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ નજીવી રકમ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીએ બબલુની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ધરપકડના ડરથી સુરત છોડીને ભાગી ગયો હતો. પોલીસને કેવી રીતે મળી સફળતા?વરાછા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમે પેન્ડિંગ ગુનાઓના નિકાલ માટે તપાસ તેજ કરી હતી. સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને જાણવા મળ્યું કે આરોપી ઝારખંડના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. આરોપી અત્યંત ચતુર હોવાથી પોલીસની ઓળખ છુપાવવી જરૂરી હતી. વરાછા પોલીસની ટીમે ઝારખંડના દુમકાના જંગલોમાં 7 દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કર્યો હતો. આરોપી અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતોઆરોપી પોલીસથી બચવા વારંવાર પોતાની જગ્યા બદલતો હતો, પરંતુ સતત વોચ રાખ્યા બાદ અંતે 19 માર્ચ, 2026ના રોજ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી 18 વર્ષથી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. તે વતન ઝારખંડના જંગલ વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા અમારી ટીમે ત્યાં રહીને સ્થાનિકો જેવો વેશ ધારણ કરી તેને ઝડપી પાડ્યો છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ગઈકાલે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ તેમજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મેંદરડા પંથકના આંબાના બગીચાઓમાં જાણે કુદરતે કહેર વર્તાવ્યો હોય તેમ ભારે પવનના કારણે તૈયાર થવા આવેલી કેરીઓ ખરી પડી છે. અગાઉ પ્રતિકૂળ હવામાનને કારણે માત્ર 50% જેટલા જ મોર આંબા પર આવ્યા હતા અને ફળનું બંધારણ પણ ઓછું હતું, ત્યાં અચાનક આવેલા આ માવઠાએ ઇજારેદારોના સપનાઓ રોળી નાખ્યા છે. આ પરિસ્થિતિને કારણે ચાલુ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ ચાખવો કદાચ દુર્લભ બની જશે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે મેંદરડા પંથકના બગીચાઓમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. લાખો રૂપિયાના ખર્ચે ઉછેરેલી કેરીઓ જાણે કે ઈઝારેદારોના સપનાઓ બની જમીન પર વેરવિખેર પડી હતી. ઇજારેદારો ભારે હૈયે જમીન પર પડેલી આ કેરીઓ ભેગી કરી રહ્યા હતા, કારણ કે હવે તેમની આવક શૂન્ય થવાને આરે છે. 'સાત લાખનું રોકાણ પણ પાછું આવે તેમ નથી': ઇજારેદાર મેંદરડાના નાજાપુર ગામના બગીચાના ઇજારેદાર પિયુષભાઈ મકવાણાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, 'મેં અહીં આંબાનો બગીચો ઇજારા પર રાખ્યો છે, જેમાં કુલ 400 આંબા છે. ગઈકાલે આવેલા કમોસમી વરસાદ અને ખાસ કરીને અતિશય ભારે પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. અત્યારે હાલત એવી છે કે માત્ર 5 ટકા જ પાક આંબા પર બચ્યો છે. 'કુદરતની થપાટ અમને આર્થિક રીતે તોડી નાખે છે'અમે જ્યારે આંબાના બગીચા રાખ્યા ત્યારે તેમાં મધ્યા સહિતના અલગ-અલગ રોગના કારણે તેની માવજત કરવા માટે દવા, ખાતર અને પૂરતા પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ 400 આંબાનો બગીચો મેં સાત લાખ રૂપિયામાં રાખ્યો હતો, પરંતુ હવે લાગે છે કે આ સાત લાખ રૂપિયાની મુદ્દલ રકમ પણ અમને પાછી મળશે નહીં. છેલ્લા પાંચ વર્ષથી અમારી આ જ કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે. દર વર્ષે કમોસમી વરસાદ પાકને નિષ્ફળ બનાવે છે. 12 મહિના અમે આશા રાખીએ છીએ કે પાક સારો આવશે અને પરિવારનું ગુજરાન ચાલશે, પણ કુદરતની આ થપાટ અમને આર્થિક રીતે તોડી નાખે છે. હવે આ ખરી પડેલી કેરીઓ બજારમાં વેચવા જઈશું, જો તેના કોઈ ભાવ આવે તો ઠીક છે, નહીંતર મોટું નુકસાન નિશ્ચિત છે. 'આવી સ્થિતિ રહી તો બગીચા રાખવાનું બંધ કરી દઈશું': ઈજારેદાર નાજાપુર ગામના અન્ય એક ઇજારેદાર મનીષ મકવાણાએ જણાવ્યું હતું કે, 'મેં 200 આંબાનો બગીચો રાખ્યો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આંબાના બગીચાઓમાં સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ઇજારેદારો આંબાના બગીચા રાખવાનું જ બંધ કરી દેશે. જ્યારે અમે બગીચા રાખીએ છીએ ત્યારે આંબામાં રોગ આવે છે અને ત્યારબાદ કુદરતી આફત ત્રાટકે છે. ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે કેરીનો પાક સાવ વેરવિખેર થઈ ગયો છે. પહેલા જ માત્ર 50% પાક હતો, તેમાંથી હવે માત્ર 20થી 25 ટકા જેવો જ પાક બચ્યો છે, અને હજુ પણ વરસાદની આગાહી છે. મેં આ બગીચો 1,45,000માં રાખ્યો હતો અને દવા-ખાતર પાછળ અન્ય 2,00,000થી વધુનો ખર્ચ કર્યો છે. ખેડૂતોને અમે અગાઉ જ પૈસા ચૂકવી દીધા હોય છે, હવે અમારી હાલત અત્યંત કફોડી બની છે. 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરે'મેંદરડા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હમીરભાઇ માડમે આ ગંભીર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે વાવાઝોડા સાથે જે ભારે પવન ફૂંકાયો, તેમાં આંબાના બગીચાઓમાં ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 90% જેટલી કેરીઓ ખરી પડી છે. મેંદરડા તાલુકાના 42 ગામો આ પવનના કારણે પ્રભાવિત થયા છે. અહીં વરસાદ ભલે ઓછો પડ્યો હોય, પણ પવન એટલો તેજ હતો કે તેણે પાકને જમીનદોસ્ત કરી દીધો છે. ઇજારેદારોએ ખેડૂતોને 80 થી 90 ટકા રકમ ચૂકવી દીધી હોય છે, ત્યારે આ મજૂર વર્ગના ઇજારેદારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આંબામાં મધ્યાનો રોગ પણ મોટો અવરોધ છે, જેના કારણે 50% મોર તો પહેલેથી જ સુકાઈ ગયા હતા. હવે જે બાકી હતું તે પવને સાફ કરી દીધું છે. મારી સરકારને વિનંતી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ઇજારેદારોને સહાય ચૂકવવામાં આવે. સાથે જ ખેડૂતોને પણ મારી અપીલ છે કે જે ઇજારેદારોએ લાખો રૂપિયા ચૂકવ્યા છે, તેમને પણ થોડી રાહત આપે જેથી તેમનું અસ્તિત્વ ટકી રહે. 'આ વર્ષે 10 કિલો કેરીના ભાવ 1500થી 2500 થાય તેવી શક્યતા': વેપારીકેરીના વેપારી મુન્નાભાઈ ફ્રુટવાળાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 40 વર્ષથી ફ્રુટ નો વેપાર કરું છું. જેમાં દર વર્ષે કેસર કેરી ખૂબ મોટા પ્રમાણમાં વહેંચીએ છીએ, પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેરીનો પાક ઓછો આવતા લોકોને સમયસર અને યોગ્ય કેરી ખાવા મળતી નથી. પરંતુ આ વર્ષે જે કોમોસમી વરસાદ વાવાઝોડું અને ભારે પવનના કારણે કેરીના પાકમાં નુકસાન થયું છે. કેરી વધુ પ્રમાણમાં ખરી પડી છે, જેને લઇ જે દર વર્ષે 10 કિલો કેરીના ભાવ 1,000 આસપાસ હોય છે તે આ વર્ષે 1500થી 2500 થાય તેવી શક્યતા છે. કારણ કે આ વર્ષે આંબાના બગીચામાં ઘણું નુકસાન થયું છે. રિટેલર વેપારીઓને પણ વેચવા માટે મોંઘી કેરી ખરીદવી પડે છે. જેને લઇ સ્વાદ રસિકોને આ વર્ષે કેરી મોંઘી ખરીદવી પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને કેરી ખાવી મુશ્કેલ બનશે. આ કુદરતી આફતની સીધી અસર બજાર પર જોવા મળશે. પાક ઓછો હોવાથી અને જે પાક બચ્યો છે તેની ગુણવત્તા પર અસર પડવાથી આ વર્ષે કેરીના ભાવ 200થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જવાની શક્યતા છે. મેંદરડા પંથકના બગીચાઓમાં અત્યારે પૂરતા પ્રમાણમાં કેરીઓ દેખાતી નથી, જેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવો અત્યંત મુશ્કેલ બનશે.
19 માર્ચે ગુરુવારે રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુરત શહેર સહિત નવસારીના વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈ અને સુબિર પંથકમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને ગાજવીજ સાથે ફૂંકાયેલા વંટોળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક ત્રાટકેલી આ કુદરતી આપત્તિએ સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી દીધી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મોટા પાયે પાકોને નુકસાન, ખેડૂતોની સર્વે માટે માંગમિની વાવાઝોડા બાદ સુરત, નવસારી અને ડાંગ જિલ્લાના ખેતીવાડી વિભાગ પાસે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી છે. વાવાઝોડાને કારણે જે રીતે કેરીના પાકનું મોટા પાયે નુકસાન થયું છે, તેને જોતા ખેતીવાડી અધિકારીઓ ખેતરે-ખેતરે જઈ પંચનામું કરે તે જરૂરી બન્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સર્વેમાં વિલંબ થશે તો નુકસાનીના પુરાવા નષ્ટ થઈ શકે છે અને વળતર મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, જે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન હશે. સરકાર પાસે આર્થિક પેકેજની ખેડૂતોની અપેક્ષાદક્ષિણ ગુજરાતના બાગાયતી ખેડૂતો દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કેરીનો પાક તૈયાર કરે છે. આ વર્ષે મોર સારા હતા, પરંતુ અચાનક ત્રાટકેલા વાવાઝોડાએ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂત સંગઠનોએ સરકાર પાસે વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી છે. જે ખેડૂતોએ પાક વીમો લીધો છે તેમને ક્લેમ સેટલમેન્ટમાં પ્રાધાન્ય મળે અને જેમણે વીમો નથી લીધો તેમને સીધી સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે, જેથી દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત બેઠો થઈ શકે. 'કેરીના મરવા મોટા પ્રમાણમાં ખરી ગયા, રવિ પાકને પણ નુકસાન'ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનને કારણે સતત થતા માવઠાઓએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ગઈકાલના વાવાઝોડામાં કેરીના મરવા મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ઘઉં-ચણા જેવા રવિ પાકને પણ નુકસાન થયું છે. 'આફતને ગંભીરતાથી લઈ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે'તેને વધુમાં કહ્યું કે, અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કુદરતી આફતને ગંભીરતાથી લઈ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે. ઉનાળામાં થતા આવા માવઠા હવે ખેતી માટે કાયમી જોખમ બની ગયા છે, જેનું નિરાકરણ અને સહાય અનિવાર્ય છે.
અમદાવાદમાં ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના જાણીતા કેમિકલ ગ્રુપ મયૂર ડાયકેમ પર IT વિભાગે ત્રાટકીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વટવા GIDCમાં આવેલી મયૂર પટેલની ઓફિસ અને ફેક્ટરી સહિત તેમના વ્યવસાયિક ભાગીદારોના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ITનો એક સાથે 20 સ્થળોએ તપાસનો ધમધમાટઆ કાર્યવાહી માત્ર ઓફિસ પૂરતી મર્યાદિત ન રહેતા, સોલા વિસ્તારમાં આવેલા બંને ભાગીદારોના નિવાસસ્થાન અને અન્ય સંલગ્ન સ્થળો પર પણ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક્સ ચોરીની શંકાના આધારે કુલ 20 સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરવામાં આવી છે. મેગા ઓપરેશનને પગલે શહેરના ઉદ્યોગપતિઓમાં ફફડાટ આ દરોડામાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને બેનામી વ્યવહારોની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આધુનિકરણ અને શહેરીકરણના યુગમાં લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે મહેસાણામાં પક્ષી પ્રેમીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શહેરોમાં વધતું જતું ઘોંઘાટનું પ્રદૂષણ, રહેઠાણનો અભાવ અને પૂરતો ખોરાક ન મળવાને કારણે ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં ચકલીઓનો કલરવ ફરીથી ગુંજતો થાય તેવા ઉમદા આશય સાથે મહેસાણાની વિવિધ શાળાઓમાં માળાઓનું વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ અભિયાન હાથ ધરાયુંમહેસાણા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને પક્ષીઓના જતન માટે કાર્યરત સેવા સજીવ સેતુ સંસ્થા દ્વારા આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થાના રાજુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે.તેઓ વર્ષ 2016 થી સતત ચકલીના માળા અને વૃક્ષોનું વિતરણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા આ વિસ્તારમાં 20 હજારથી વધુ માળાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જેના હકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ચકલીઓ ફરી દેખાવા લાગી છે. એક્ઝોટીકા સ્કૂલના બાળકોને 1100 જેટલા માળાઓ આપવામાં આવ્યા હતાઆજના વિશેષ દિવસે સંસ્થા દ્વારા મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલના બાળકોને 1100 જેટલા માળાઓ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી શાળાઓમાં 300 અને રેમ્બો સ્કૂલમાં 60 જેટલા માળાઓનું વિતરણ કરી બાળકોને પક્ષી પ્રેમના પાઠ ભણાવવામાં આવ્યા હતા. પક્ષી પ્રેમીઓનું માનવું છે કે જો નાગરિકો પોતાના ઘરના આંગણે કે બાલ્કનીમાં માત્ર થોડો આશરો આપે તો ચકલીઓ ત્યાં ચોક્કસ નિવાસ કરે છે. ચકલી વર્ષમાં ચાર વખત ઈંડા મૂકતી હોવાથી જો તેને સુરક્ષિત માળો અને છાંયડો મળે તો તેની વસ્તીમાં ઝડપથી વધારો થઈ શકે છે. આમ મહેસાણામાં સેવાભાવી સંસ્થાઓ અને પક્ષી પ્રેમીઓના સહિયારા પ્રયાસોથી લુપ્ત થતી જતી ચકલી પ્રજાતિને બચાવવા માટે એક મજબૂત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી આવનારી પેઢી પણ ચકલીનો મીઠો કલરવ સાંભળી શકે.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં બે દિવસ પહેલા એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતાં. મોબાઇલમાં ગાળા ગાડી વાળું સ્ટેટસ મુકવાને લઈને થયેલી માથાકૂટમાં આ બનાવ બન્યો હતો. જેમાં સરખેજ પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે 20 માર્ચના રોજ આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. દોરડા વડે બાંધીને રિકન્સ્ટ્રક્શન સરખેજ પોલીસ દ્વારા પાંચેય આરોપીઓને દોરડા વડે બાંધીને ઠાકોર વાસ જે જગ્યા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો, ત્યાં લાવવામાં આવ્યા હતા. પાંચેય આરોપીઓને ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતાં. લંગડાતા લંગડાતા ચાલીને પોલીસને ઘટનાક્રમ જણાવ્યો આરોપીઓને જોવા માટે ઠાકોરવાસમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને મોબાઇલમાં વિડીયો પણ ઉતાર્યા હતાં. આરોપી લંગડાતા લંગડાતા ચાલીને ઘટના કેવી રીતે બની હતી તે અંગે પોલીસને જણાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યા બાદ તમામ આરોપીઓ ને લઈ જવાયા હતા. સ્ટેટસ હટાવા બાબતે ઝઘડો કે અંતે યુવકની હત્યા કરીસરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ ખાતે બે દિવસ પહેલા ઠાકોર સમાજના જ લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નરેશ ઠાકોર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે જયેશ ઠાકોર અને નરેશ ઠાકોર નામના બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. આશિષ ઠાકોર નામના ભોગ બનનારે મોબાઈલના સ્ટેટસમાં સામેવાળા આરોપીઓના વિશે બિભત્સ લખવામાં આવેલું હતું. જેને લઈને આરોપીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા પરંતુ તેમનું સ્ટેટસ દૂર કરવામાં આવ્યું નહોતું. જેથી તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી. પાંચ આરોપીની ધરપકડ ને રિકન્સ્ટ્રક્શન બોલાચાલી બાદ મારામારીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સરખેજ પોલીસ દ્વારા છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોર બે આરોપીઓ અને સરખેજ પોલીસે મહેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી. કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં આરોપીઓને બનાવના સ્થળ ઉપર લાવીને પંચનામું અને ઘટના કેવી રીતે બની તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન:રાજુ કરપડાએ કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વેની માગ કરી
ગુજરાતમાં 18 અને 19 માર્ચ, 2026ના રોજ પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે. અમરેલી, સુરત, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં શિયાળુ અને બાગાયતી પાકને મોટો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂત નેતા રાજુ કરપડા અને અન્ય ખેડૂત આગેવાનોએ અમરેલી કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે તાત્કાલિક અસરથી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવા અને ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. રાજુ કરપડાએ અમરેલી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, જામનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે બગડી જવાથી ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન થયું છે. તેથી સરકારે તાત્કાલિક પગલાં ભરી ખેડૂતોને રાહત આપવી અત્યંત જરૂરી છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી. પોરિયા અને નાયબ રજિસ્ટ્રાર સાથે કોલેજ સંચાલક દિલીપ ચૌધરી સહિતના પ્રતિનિધિઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં અધ્યાપકોની અછત, GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા અને પેન્ડિંગ સૈદ્ધાંતિક મંજૂરી જેવા મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સંચાલકોએ રજૂઆત કરી હતી કે હાલમાં ક્વોલિફાઇડ આચાર્યો અને અધ્યાપકોની મોટી અછત પ્રવર્તી રહી છે. છેલ્લા ઇન્ટરવ્યુમાં 6300 જગ્યાઓ સામે માત્ર 1800 યોગ્ય ઉમેદવારો જ મળી શક્યા હતા. જ્યાં સુધી NET, SLET કે PhD થયેલા કાયમી અધ્યાપકો ન મળે ત્યાં સુધી કાર્યકારી આચાર્ય અને 11 માસના કરાર આધારિત અધ્યાપકોની નિમણૂક માટે અગાઉની જેમ 2 વર્ષની છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવનાર રી-એલઆઈસી (Re-LIC) પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ હતી. સંચાલકોએ વિનંતી કરી હતી કે જો પુસ્તકો કે અન્ય નાની ભૌતિક સુવિધાઓ જેવી સામાન્ય ખામીઓ હોય, તો તેને પૂર્તતા કરવાની તક આપી ફરીથી નિરીક્ષણ ન કરવામાં આવે. જમીન અને બિલ્ડિંગ જેવા મોટા મુદ્દાઓ પર યુનિવર્સિટીના નિયમો સ્વીકારવાની સાથે સામાન્ય વહીવટી પ્રશ્નોમાં રાહત આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. કોલેજો બંધ કરવાની પ્રક્રિયામાં પણ રાહતની દરખાસ્ત મુકાઈ છે. વર્ષ 2025 સુધી કોલેજ બંધ કરવા માટેની 2 લાખની ફી ઘટાડીને 50,000 કરવામાં આવી હતી, જેની મુદત હવે 31 એપ્રિલ 2026 સુધી લંબાવવા અંગે આગામી 25 તારીખની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરી હતી કે આ વર્ષે GCAS અંતર્ગત પ્રવેશના માત્ર 3 મુખ્ય રાઉન્ડ યોજવામાં આવશે, જેથી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. જો ત્યારબાદ પણ બેઠકો ખાલી રહેશે, તો સ્વાયત્તતાના ધોરણે કોલેજોને પ્રવેશ આપવા અથવા યુનિવર્સિટીની કમિટી દ્વારા એડમિશન કરવા અંગે વિચારણા કરાશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાથી માળખાગત સુવિધાઓ ઊભી કરનાર સંચાલકોના હિતમાં યુનિવર્સિટીએ હકારાત્મક વલણ દાખવ્યું છે. વર્ષ 2014 થી પેન્ડિંગ રહેલી સૈદ્ધાંતિક મંજૂરીના મુદ્દે પણ પ્રગતિ જોવા મળી છે. સરકાર દ્વારા નિમવામાં આવેલી 5 સભ્યોની કમિટીએ સ્ક્રૂટીનીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. 118 માંથી અંદાજે 113 કોલેજોના અહેવાલો સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યા છે, જેના આધારે આગામી ટૂંક સમયમાં સૈદ્ધાંતિક મંજૂરી મળે તેવી શક્યતા છે.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના TB ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી એક કિયા ગાડી ઝડપી પાડી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 13,83,184 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB PI રાકેશ ઉનાગર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ડીસા હાઈવે તરફથી પાટણ બજાર થઈ ચાણસ્મા તરફ એક કિયા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે TB ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતા તેને અટકાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. વરસાદી માહોલને કારણે પોલીસે ગાડીને LCB કચેરી ખાતે લાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1368 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 3,23,184 આંકવામાં આવી છે. પોલીસે ગાડીમાં સવાર સુનિલ કુમાર ગણપતલાલ લોલ, શંકરલાલ ઓમપ્રકાશ ખોખર અને અરવિંદ શંકરારામ મેઘવાલની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને લિંબડી ખાતે પહોંચાડવાનો હતો. આ ગુનામાં રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનાર રામશા કાકર અને લિંબડીમાં દારૂ મંગાવનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાટણ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં અશાંતધારાના કાયદાના ઉલ્લંઘન અને વહીવટી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે પ્રભારી મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, આરોપી ગમે તેટલો વગદાર હોય કે ગમે ત્યાં જતો રહ્યો હોય, સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં, આ મામલે FIR દાખલ કરી પોલીસને તટસ્થ અને કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, ભાવનગરના SDM પ્રતિભા દહિયા અને તેમના ડ્રાઇવર ઉપર લાખો રૂપિયાના મિલકત ટ્રાન્સફર કરાવવા માટેના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા બાદ હવે ભાવનગરના પ્રભારી અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયા એ જણાવ્યું કે આગામી સમયમાં અશાંત ધારા બાબતે જે કાંઈ સુધારા હશે તે સુધારા લાવીને વિધાનસભામાં ફેરફાર કરવામાં આવશે, અશાંતધારામાં ભાવનગરમાં જે ભ્રષ્ટાચાર થયો છે, કૌશિક વેકરીયા એ કહ્યું અને જેમને પણ નિયમ ભંગ કર્યો છે તેને છોડવામાં નહીં આવે, ભાવનગરની કલેકટર કચેરી ખાતે આજે ભાવનગરના પ્રભારી અને રાજ્યના મંત્રી કૌશકભાઈ વેકરીયાની અધ્યક્ષ સ્થાને આયોજનની મીટીંગ મળી હતી, આ મીટીંગ દરમિયાન આવનારા દિવસોમાં ભાવનગરમાં નવા માર્ગ અને અન્ય વિકાસના કામોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, તે બાબતે પણ તેમને વાત કરતા જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયા અનુસાર માંગ થતી હોય છે અને ખાસ કરીને તાજેતરમાં જ ભાવનગરમાં SDM પ્રતિભા દહિયા નો ડ્રાઇવર મિલકત ટ્રાન્સફર કરાવવાના નામે મંજૂરી આપવા માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેનો વિડીયો અને ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એસડીએમ પણ સવાલોના ઘેરામાં આવ્યા છે ત્યારે આ બાબતને લઈને કૌશિક વેકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે...
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રશ્ન હજી યથાવત છે. સરકાર દ્વારા ભારત નેટ યોજનાના ભાગરૂપે ગ્રામ પંચાયત સ્તરે કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, અનેક ગામોમાં હજી પણ નબળી નેટવર્ક સુવિધા લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ઈ-સ્વાસ્થ્ય, ઈ-શિક્ષણ અને ઈ-ગવર્નન્સ જેવી સેવાઓનો પૂરતો લાભ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યા યથાવતરાજ્યમાં નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે Gujarat Fibre Grid Network Limited (GFGNL) દ્વારા ફાઈબર ગ્રીડ નેટવર્કનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે અને ગ્રામ્ય કનેક્ટિવિટી સુધારવા પ્રયાસો થઈ રહ્યા છે. છતાં, હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે આ પહેલોની અસર હજુ પૂરતી રીતે ધરાતળ પર જોવા મળી રહી નથી. નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની વિગત માંગવામાં આવી આ મુદ્દે ચર્ચા દરમિયાન રાજ્યમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વિભાગ દ્વારા દરેક કલેક્ટરને પત્ર લખી તેમના જિલ્લામાં નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની વિગત માંગવામાં આવી રહી છે. સાથે સાથે ધારાસભ્યોને પણ તેમના મતવિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં નેટવર્ક સમસ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારને વિગતો મોકલવાની તૈયારી આ માહિતીના આધારે આગળની કાર્યવાહી માટે કેન્દ્ર સરકારને વિગતો મોકલવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે, સતત ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે હજુ સુધી કોઈ તાત્કાલિક અને અસરકારક ઉકેલ સામે આવ્યો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો મુદ્દો હજી પડકારરૂપ રહ્યો છે.
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આગામી 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને જનતામાં સ્વાસ્થ્યપ્રદ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ મહોત્સવ મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત યોજાઈ રહ્યો છે. મહોત્સવનો શુભારંભ શનિવાર, 21 માર્ચના રોજ સવારે 10 કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે થશે. આ પ્રસંગે જિલ્લાના અન્ય મહાનુભાવો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં વિવિધ આકર્ષણો જોવા મળશે. આઈસીડીએસ, નાબાર્ડ, આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત વિભાગ દ્વારા મિલેટ્સ (શ્રી અન્ન) આધારિત માહિતીપ્રદ સ્ટોલ્સ રાખવામાં આવશે. મુલાકાતીઓ માટે લાઈવ ફૂડ કોર્ટમાં મિલેટમાંથી બનેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, 'રેડી ટુ ઈટ' મિલેટ ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીની પેદાશોનું પ્રદર્શન તેમજ સીધું વેચાણ પણ કરવામાં આવશે. પ્રદર્શન બંને દિવસ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મહોત્સવના પ્રથમ દિવસે, 21 માર્ચના રોજ રાત્રે 9 કલાકે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર લોકડાયરાની રમઝટ બોલાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લઈ, મિલેટના ફાયદાઓ વિશે જાણવા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે કાર્યક્રમ સ્થળે તૈયાર કરાયેલો વિશાળ મંડપ તૂટી પડ્યો હોવા છતાં, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખુલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત રાત્રિના વાવાઝોડા અને વરસાદથી મંડપને નુકસાન થયું હતું. ઊંચા તાપમાન છતાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓને તાપમાં બેઠેલા જોઈને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ મંચ પર છાંયામાં બેસવાનું ટાળી, પોતે ધોમધમતા તાપમાં ઊભા રહીને વક્તવ્ય આપ્યું હતું. તેમના આ વલણથી કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના પ્રવાસની શરૂઆતમાં જગદીશ વિશ્વકર્મા સૌપ્રથમ સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે માહાકાળી માતાજી મંદિર અને રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. તેઓ સ્વર્ગસ્થ મુકેશ પટેલના નિવાસ્થાને પણ ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત, તેમણે આર.એસ.એસ. કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. પ્રદેશ અધ્યક્ષના આગમનને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી અને ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની આગેવાનીમાં નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. કાર્યકર્તા સંમેલન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસની નીતિઓ અને વલણ પર નિશાન સાધ્યું હતું. સાથે જ, તેમણે ભાજપ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, ઉપલબ્ધિઓ અને જનકલ્યાણકારી નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સંગઠન વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે સક્રિયતા વધારવા અને આગામી રાજકીય લડાઈ માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઘેલવાટ ગામે ભાજપના બુથ પ્રમુખ મેહુલ રાઠવાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એકદમ સાદગીભર્યા અંદાજમાં સામાન્ય કાર્યકર્તાના ઘરે ભોજન લીધું હતું. પ્રદેશ અધ્યક્ષના આ સરળ અને કાર્યકર્તા-કેન્દ્રિત વલણને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરમાં ભારે વાવાઝોડા બાદ પણ ભાજપે આ કાર્યકર્તા સંમેલન સફળતાપૂર્વક યોજીને પોતાની સંગઠનશક્તિનું પ્રદર્શન કર્યું છે. ખુલ્લામાં તાપ વચ્ચે યોજાયેલું આ સંમેલન રાજકીય અને પ્રતિકાત્મક બંને રીતે ચર્ચાનો વિષય બન્યું છે.
પાટણના ચાણસ્મામાં પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માર માર્યાની ઘટનાની વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરી ટીકા કરી છે. તેમણે પોલીસ તંત્રને કાયદો હાથમાં લેવાને બદલે FIR, તપાસ અને કોર્ટ દ્વારા નિર્ધારિત ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવા જણાવ્યું છે. મેવાણીએ આ ઘટનાને અમાનવીય ગણાવી તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, અદાલત દ્વારા કોઈ વ્યક્તિને દોષી ઠેરવવામાં આવે તે પહેલાં જ પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢી માર મારવો એ ભારતીય બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન છે. દેશમાં ન્યાયિક પ્રણાલી FIR, તટસ્થ તપાસ અને કોર્ટ ટ્રાયલ બાદ જ સજા નક્કી કરવાની પ્રક્રિયાનું પાલન કરે છે. તેમણે પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI કક્ષાના અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓના ઈશારે કે રાજકીય દબાણ હેઠળ કાયદો હાથમાં ન લેવા વિનંતી કરી છે. મેવાણીએ ચેતવણી આપી કે, જો આ મામલો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પહોંચશે, તો પાયાના કર્મચારીઓ અને અધિકારીઓ જ સસ્પેન્ડ થશે અને આરોપી બનશે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ બચી જશે.મેવાણીએ ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવાની પ્રથા કાયમ માટે બંધ થવી જોઈએ તેવી માંગ કરી છે. તેમણે પાટણ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, જો પોલીસમાં હિંમત હોય તો જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ, બુટલેગરો, ગેરકાયદેસર માઇનિંગ કરતા માફિયાઓ અને જમીન કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. ચરસ, ગાંજો અને ડ્રગ્સ જેવા નશાના કારોબાર સાથે સંકળાયેલા માફિયાઓ સામે કડક પગલાં લેવાય તો જ પોલીસની સાચી કામગીરી ગણાશે. તેમણે આક્ષેપ કર્યો કે, એક તરફ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા બુટલેગરોને છાવરવામાં આવે છે, જ્યારે બીજી તરફ સામાન્ય ઘર્ષણ કે અન્ય કેસમાં પોલીસ કાયદો હાથમાં લે છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. મેવાણીએ સમગ્ર ઘટનામાં કસૂરવાર પોલીસકર્મીઓ સામે પણ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પગાર વધારાનો મુદ્દો ગરમાયો છે. નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોએ તેમની પડતર માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. હાઈકોર્ટના આદેશ છતાં સરકાર દ્વારા અમલવારી ન થતા બહેનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અનુસાર, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર બહેનોને રૂ. 24,800 અને હેલ્પર બહેનોને રૂ. 20,300 ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને છ મહિના વીતી ગયા હોવા છતાં, સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બહેનોનો આક્ષેપ છે કે, 30-31 વર્ષની સેવા બાદ પણ તેમને હાલમાં માત્ર રૂ. 10,000 જેટલો ઓછો પગાર મળે છે. આ આંદોલનને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ બહેનોનો માત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના ચુકાદા છતાં સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને બહેનોના હક છીનવી રહી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્રમાં પગાર વધારા ઉપરાંત અન્ય વહીવટી પ્રશ્નો પણ રજૂ કરાયા છે. 'પોષણ સુધા યોજના' હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના ભોજન માટે ફાળવાતા રૂ. 27ને વધારીને રૂ. 75 કરવાની માંગ છે, જેથી કુપોષણ સામેની લડત વધુ મજબૂત બને. આ ઉપરાંત, ગરમ નાસ્તાના પૈસા, રજિસ્ટર નિભાવણી ખર્ચ અને મુસાફરી ભથ્થું (TA-DA) પણ સમયસર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. નવસારી બાદ હવે ચીખલી અને વાંસદા ખાતે પણ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરાશે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી આ મુદ્દે ગૃહમાં પણ રજૂઆત કરવામાં આવશે. જો સરકાર તાત્કાલિક પગાર વધારાની જાહેરાત નહીં કરે, તો આંગણવાડીની બહેનોએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી વડોદની એક જાણીતી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતાં. તંત્રને લાંબા સમયથી આ એજન્સીમાં ગેસ સિલિન્ડરના જથ્થામાં ગેરરીતિ થતી હોવાની આશંકા હતી. કાર્યવાહી દરમિયાન તપાસનીશ ટીમે સ્થળ પરથી કુલ 35 ગેસથી ભરેલા સિલિન્ડર અને 205 ખાલી સિલિન્ડર શોધી કાઢ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સિલિન્ડરોનો જથ્થો મળી આવતા વિસ્તારમાં અને ગેસ વિતરણ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મેનેજર ફરાર થતા શંકા ઘેરી બની, ઓફિસ સીલ કરાઈપુરવઠા વિભાગની ટીમ જેવી એજન્સી પર પહોંચી, ગભરાયેલો મેનેજર તરત જ સ્થળ છોડીને ભાગી છૂટ્યો હતો. મેનેજરના અચાનક ગાયબ થવાથી અધિકારીઓની શંકા વધુ મજબૂત બની હતી કે અહીં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી ગેસ એજન્સીનું ગોડાઉન, ઓફિસ અને અન્ય સંબંધિત કામકાજના સ્થળોને સીલ કરી દીધા છે. હાલમાં એજન્સીનો તમામ વહીવટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને જવાબદારો સામે પગલાં લેવાશે. ગેરકાયદે રિફિલિંગ અને વિતરણની તપાસ પુરવઠા અને મામલતદારની ટીમે પ્રાથમિક તપાસમાં નોંધ્યું છે કે આ એજન્સી દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણમાં મંજૂરી વગરના વ્યવહારો કરવામાં આવતા હતા. અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ 35 ભરેલા સિલિન્ડરો ક્યાંથી આવ્યા અને 205 ખાલી બોટલોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હતો. શું અહીં ગેસની ચોરી કરીને નાના સિલિન્ડરોમાં ભરવાનું ગેરકાયદે નેટવર્ક ચાલતું હતું? તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. અગ્રવાલ કોમર્શિયલ ગેસ એજન્સી પણ તપાસના દાયરામાંમાત્ર વડોદની એજન્સી જ નહીં, પરંતુ તપાસનો રેલો અગ્રવાલ કોમર્શિયલ ગેસ એજન્સી સુધી પણ પહોંચ્યો છે. પુરવઠા વિભાગે આ એજન્સીના સંલગ્ન પ્લાન્ટ અને ઓફિસમાં પણ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો અને સ્ટોક રજિસ્ટર કબજે લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને એજન્સીઓ વચ્ચેના આંતરિક વ્યવહારો અને ગેસના જથ્થાની હેરાફેરી અંગેના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જે મોટા કૌભાંડ તરફ ઈશારો કરે છે. 12 કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં વ્યાપક તપાસનો દોરસુરત પુરવઠા વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા શહેરની અન્ય 12 કોમર્શિયલ ગેસ એજન્સીઓમાં પણ તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા 10 દિવસમાં કઈ એજન્સીએ કેટલો ગેસ મેળવ્યો અને તેનું વેચાણ કોને-કોને કરવામાં આવ્યું, તેની વિગતો મંગાવવામાં આવી છે. સરકાર દ્વારા ગેસના કાળાબજાર રોકવા માટે આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ તપાસમાં જે પણ એજન્સી દોષિત જણાશે તેના પર કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગેસના બાટલા માટે ગ્રાહકોનું લાંબુ વેઇટિંગ લિસ્ટએક તરફ એજન્સીઓમાં ગેરરીતિ બહાર આવી રહી છે, તો બીજી તરફ સામાન્ય જનતા ગેસ માટે હાલાકી ભોગવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાંધણ ગેસ માટે 11 માર્ચ થી 15 માર્ચ સુધી જે બુકિંગ થયા હતા, તે હજુ સુધી પેન્ડિંગ છે. 5 દિવસમાં 10 દિવસ જેટલું વેઇટિંગ વધી ગયું હોવાથી ગ્રાહકો પરેશાન છે. તંત્રનું કહેવું છે કે જથ્થો પૂરતો છે પરંતુ બુકિંગની સંખ્યા અચાનક વધી જવાથી આ વિલંબ સર્જાયો હોવાનું જણાય છે. ફિલ્ડ માર્શલ હોટલના રસોડામાં આગનો બનાવદરોડાની કામગીરી વચ્ચે શહેરના દિલ્હી ગેટ પાસે આવેલી ફિલ્ડ માર્શલ હોટલના રસોડામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. રસોડામાં ગેસના જોડાણો હોવાથી ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. ગેસ સુરક્ષા અને સાવચેતી રાખવા માટે ફાયર ઓફિસર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા નવી એસટી બસોની ફાળવણી અંતર્ગત વેરાવળ એસટી ડેપોને બે નવી બસો મળતાં આજે સોમનાથ ખાતે શુભ પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલાળા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યા હતા. કાર્યક્રમ મુજબ બંને ધારાસભ્યોના હાથે એક-એક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવાનું નક્કી હતું. જેમાં ભગવાનભાઈ બારડે નિયમ મુજબ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પરંતુ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના હિસ્સાની બસ માટે અલગ રીત અપનાવી હતી. તેમણે લીલી ઝંડી તાલુકા કોંગ્રેસ પ્રમુખના હાથે અપાવી અને પોતે બસની ડ્રાઇવિંગ સીટ પર બેસી સ્ટેરીંગ સંભાળી બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સૌથી મહત્વની બાબત એ રહી કે ધારાસભ્ય સીટબેલ્ટ પહેર્યા વિના બસ ચલાવતા જોવા મળ્યા હતા, જે ડ્રાઇવિંગ નિયમોનો ખુલ્લો ભંગ ગણાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો સામે આવ્યા બાદ હવે ચર્ચા તેજ બની છે કે સામાન્ય નાગરિકો માટે કડક નિયમો લાગુ કરતી તંત્રશક્તિ શું જન પ્રતિનિધિ સામે પણ સમાન કાર્યવાહી કરશે કે નહીં. હાલમાં આ મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ નિયમોના ઉલ્લંઘન મામલે શું પગલાં લેવાશે તે પર સૌની નજર ટકેલી છે.
બોટાદ APMC 25 થી 31 માર્ચ સુધી બંધ રહેશે:માર્ચ એન્ડિંગને કારણે જણસીની હરાજી બંધ રહેશે
બોટાદ APMC 25 માર્ચથી 31 માર્ચ સુધી સાત દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગને કારણે આ રજા જાહેર કરવામાં આવી છે, જેના લીધે જણસીની હરાજી સહિતનું તમામ કામકાજ સ્થગિત રહેશે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં હિસાબી કામગીરી પૂર્ણ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો અને વેપારીઓને જણસીની લે-વેચ માટે APMCમાં પ્રવેશ મળશે નહીં. બોટાદ APMCના ચેરમેન મનહર માતરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, APMC 1 એપ્રિલથી રાબેતા મુજબ ફરી કાર્યરત થશે.

28 C