SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સજ્જ:કાલચક્ર અને ક્ષતિઓને સુધારી હવે પ્રજાને આપીશું શ્રેષ્ઠ શાસન - કુલદીપ શર્મા

કુલદીપ શર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકરો માટે ખાસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન આગામી કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કોંગ્રેસના પ્રભારી કુલદીપ શર્મા ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઈતિહાસ, બંધારણની રક્ષા અને ચૂંટણી લક્ષી વ્યુહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ​આ અંગે ભાવનગરના પ્રભારી કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવવા જે સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ જે સબળ વહીવટી પદ્ધતિ અમલમાં મૂકી છે, તેનાથી દરેક કાર્યકર માહિતગાર હોવો જોઈએ અને ભારતનું બંધારણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે અને તેને બનાવવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો સિંહફાળો રહ્યો છે, જેના કારણે જ આજે ભારત એક સફળ લોકશાહી તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત છે, ​વર્તમાન રાજકીય સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, આ સમયનું એક 'કાલચક્ર' છે, દરેક સંગઠનમાં સમય જતાં કેટલીક ક્ષતિઓ આવતી હોય છે, પરંતુ અમે હવે તમામ બદીઓ અને ક્ષતિઓને દૂર કરી રહ્યા છીએ, જનતાને જૂઠી વાતો અને ગેરમાર્ગે દોરનારા નિવેદનોથી બચાવી, એક પારદર્શક અને અસરકારક શાસન આપવાનો અમારો મુખ્ય ઇરાદો છે,​​આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના તમામ નિયમોનું પાલન કરી અસરકારક રીતે મેદાનમાં ઉતારશું, તેમજ ભાવનગરના વિકાસ માટે પક્ષ અને પ્રજાના હિતને સર્વોપરી માનતા હોય તેવા સક્ષમ અને સેવાભાવી ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે, ચૂંટાયા બાદ કોર્પોરેટરો માત્ર સત્તા ભોગવવાને બદલે જનતાની સાચી સેવા કરે તેવું માળખું તૈયાર કરવામાં આવશે, ​આ શિબિરમાં રમેશ શિલું બોટાદ જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા, ભાવનગર જીલ્લા પંચાયત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુ સોલંકી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહેલ, કોંગ્રેસ સેલના તમામ વિભાગના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે આગામી ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત લડત આપવા માટે ઉત્સાહિત છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:55 pm

જૂનાગઢ જેલનો ફરાર કેદી ભરૂચની વાડીમાંથી મજૂરના વેશે ઝડપાયો.:જૂનાગઢ પોલીસે કેદીને પકડવા મજુર બની,જામીન પર છૂટી ફરાર થયેલો બળાત્કારનો આરોપી ભરૂચથી મજૂરના વેશે પકડાયો, પેરોલ ફર્લો સ્ક્વોડની સફળતા.

જૂનાગઢ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા રાજ્યમાં નાસતા-ફરતા અને જેલમાંથી પેરોલ કે જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા કેદીઓને પકડવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના સચોટ ઉપયોગ દ્વારા પોલીસની ટીમે અત્યંત ચાલાકી પૂર્વક ઓપરેશન પાર પાડીને કાયદો અને વ્યવસ્થાની ગરિમા જાળવી રાખી છે. આ કેસની વિગત મુજબ, કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાનો આરોપી ભીખુ ઉર્ફે સાગર ભુવાજી ધીરુભાઈ બગથરીયા (રહે. ડેડકયાળી, તા. મેંદરડા) જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી વચગાળાના જામીન પર જેલની બહાર આવ્યો હતો.જામીનની શરત મુજબ તેણે ફરી જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ​વાડી વિસ્તારમાં પોલીસનો વેશપલટો ફરાર કેદી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગોલાકોતર ગામની વાડી વિસ્તારમાં હોવાની સચોટ બાતમી પેરોલ ફર્લો સ્ક્વોડને મળી હતી. આરોપીને કોઈ શંકા ન જાય તે માટે સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ મજૂરનો વેશ ધારણ કર્યો હતો. વેશપલટો કરી વાડીઓમાં તપાસ કર્યા બાદ ખાતરી થતા પોલીસે ઘેરો ઘાલ્યો હતો અને આરોપી ભીખુ ઉર્ફે સાગર બગથરીયાને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીએ જૂનાગઢ જેલમાંથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી બાદ ફરીથી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબી પીઆઈ કે.એમ. પટેલ, પીએસઆઈ એસ.એ. સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:55 pm

બોટાદમાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન:વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

બોટાદમાં કોંગ્રેસ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું. આ પ્રદર્શન દિનદયાળ ચોક ખાતે યોજાયું હતું. પ્રદર્શનમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના સભ્યો જોડાયા હતા. તેમણે તેલના ડબા, શાકભાજીના હાર અને ગેસના બાટલા સાથે રાખી ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને ભાવવધારા અંગે જાગૃત કરવાનો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી હતી. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:51 pm

મોરબીમાં બુધવારે અઠવાડિક દબાણ હટાવ ઝૂંબેશ:દલવાડી સર્કલ પાસે 30 ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું, રસ્તો ખુલ્લો કરાયો

મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલ કિનારેથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાની ટીમે વડાપ્રધાન આવાસ યોજના તરફ જતા રસ્તા પરથી આશરે 30 જેટલા ઝૂંપડાં હટાવીને રોડ સાઈડની જગ્યા ખુલ્લી કરી હતી. મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દર બુધવારે રોડ સાઈડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આજે ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દલવાડી સર્કલથી વડાપ્રધાન આવાસ યોજના તરફના માર્ગ પરના કાચા ઝૂંપડાંના દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ જગ્યાએ એક વર્ષ અગાઉ, એટલે કે માર્ચ 2025માં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ફરીથી ત્યાં ઝૂંપડાંના દબાણો થઈ ગયા હતા, જેને પગલે મનપાનું બુલડોઝર ફરીથી સક્રિય બન્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, રોડ સાઈડના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ અન્ય કોઈપણ વિસ્તારમાં આવા દબાણો હશે તો તેને દૂર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:47 pm

'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો:ભાસ્કરને કહ્યું, પરિવાર મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય, પણ હું તેને મહત્વ આપતી નથી

રાજકોટ મહાપાલિકાના બીજી ટર્મના અઢી વર્ષના મેયર તરીકે નયનાબેન પેઢડીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. અવિરત વિકાસની મશાલ, ગતિશીલ રાજકોટના સુત્રોને સાકાર કરતા તેમણે શહેરને સ્વચ્છ, રળીયામણું, રહેવા લાયક અને માણવા લાયક બનાવવા માટે શહેરીજનો અને રાજ્ય સરકારનો સહકાર બદલ આભાર માન્યો છે. આ તકે મેયરે દિવ્યભાસ્કરની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી. પરિવાર જ્યારે મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું તેને મહત્વ આપતી નથી. જોકે જે કરે તે ભરે કહીને તેમની સાથે કશુંક ખોટું થયાનો ઈશારો કર્યો હતો. ગેરકાયદે બાંધકામ અને મેયરના પ્રવાસને લઈને વિવાદરાજકોટ મેયર નયનાબેન પેઢડીયાએ તેમના કાર્યકાળના અનુભવો અને વિવાદો અંગે જણાવ્યું હતું કે, આ બાબતે હું સ્પષ્ટતા કરું છું કે જ્યારે હું પ્રયાગરાજ ગઈ હતી ત્યારે પણ મ્યુ. કમિશ્નરનો હુકમ મારી સાથે હતો. મેં જરૂરી પરવાનગી લીધી હતી અને તેનો ચાર્જ પણ ભરી દીધો હતો. ત્યારે જૂની વાતો વાગોળવી કદાચ કોઈને ગમતી હશે, પણ મેં આ અંગે અગાઉ પણ ખુલાસો કરી દીધો છે. 'એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે'મેયરે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સૂચિત બાંધકામની વાત છે, તો રાજકોટમાં ઘણી સોસાયટીઓ સૂચિતમાં છે. હું આ વિવાદમાં પડવા માંગતી નથી. આપણને આપણા હકનું જે મળ્યું છે તેમાં જ કામ કર્યું છે અને એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવું એ જ મારી ભૂમિકા રહી છે. 'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં લોકો સાથે રહેવું મને ગમે છે, અને ક્યારેક કોઈને આવા મુદ્દા ઉછાળવાનું મન થતું હોય છે, ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ જેવી વાત નથી. પરિવાર જ્યારે મોટો થતો હોય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું આવી બાબતોને મહત્વ આપતી નથી. જોકે મારું માનવું છે કે “જે કરે તે ભરે”. આવું કહીને તેમણે પોતાને જાણીજોઈને વિવાદમાં સંડોવી દેવાયા હોવાનો ઈશારો કર્યો હતો. 'અમારા પદાધિકારીનો 911 દિવસનો આ કાર્યકાળ હતો'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરમિયાન શહેરમાં રોડ-રસ્તાની સાથે સાથે નવા પુલ, આરોગ્ય કેન્દ્રો તેમજ નવી વોર્ડ ઓફિસો, બગીચા જેવી અનેકવિધ સુવિધાઓ રાજકોટને અમે ભેટ આપી છે. રાજકોટ જ્યારે દિવસે દિવસે મોટું થતું જાય છે ત્યારે રાજકોટનો વિકાસની દ્રષ્ટિએ પણ ત્રીજો ક્રમાંક આવ્યો છે. 'રાજકોટની પ્રિય જનતાનો હું આભાર માનું છું'આગામી સમયમાં અન્ય મહાનગરપાલિકા ભળવાની હોય એટલે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવાનો છે. મારું અઢી વર્ષનું શાસન ખૂબ સારું રહ્યું અને કામ કરવાની પણ ખૂબ મજા આવી. લોકોનો પણ એટલો જ સાથ અને સહકાર મળેલો છે. રાજકોટની પ્રિય જનતાનો પણ હું એટલો જ આભાર માનું છું કે અમારા કાર્યકાળ દરમિયાન અમારાથી જે પણ કામ થયા છે તે કામ અમે જ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સોંપેલા છે. આ ગામો રાજકોટમાં ભળ્યા ને ક્ષેત્રફળ વધ્યુંમેયર નયનાબેન પેઢડીયાએ પોતાના કાર્યકાળમાં કરેલા કામો અને પ્રમાણિક ઇરાદાઓ અંગે સંતોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ આજે માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું અગ્રેસર ’ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. ભાજપ શાસનનો આ અઢી વર્ષનો સમયગાળો રાજકોટની કાયાપલટ કરનારો રહ્યો છે. જેમાં 2020માં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર(મનહરપુર-1 સહિત)ના ગામો રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કિ.મી. થયું છે તે સાથે પ્રાથમિક સુવિધાઓ આપવાની નવી સફર આગળ વધી છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામ વન(અર્બન ફોરેસ્ટ), અટલ સરોવર સહિતના કામોઆજે શહેરની વસતિ 20 લાખથી વધુ થવા જઇ રહી છે. 2026-27માં બજેટનું કદ રૂ.3604.90 કરોડ થયું છે. રાજકોટમાં 137 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. તેમજ લાયન સફારી પાર્કની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. ઉપરાંત 47 એકરમાં ફેલાયેલું રામ વન(અર્બન ફોરેસ્ટ) છે. આરોગ્ય કેન્દ્રો, નવી વોર્ડ ઓફિસ, કોમ્યુનિટી હોલ, નવા જુના વિસ્તારોમાં ડામર રોડ સહિતની સુવિધા, ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર સહિતના લોકભોગ્ય કામો શાસકોએ કર્યા છે. 2006માં પ્રથમ વેસ્ટ ઝોન, 2007માં ઇસ્ટ ઝોન બન્યા બાદ હવે કોઠારીયામાં રાધાકૃષ્ણ સોસાયટી બાજુમાં 27.58 કરોડના ખર્ચે વોર્ડ નં.15, 16, 17, 18 માટે સાઉથ ઝોન ઓફિસનું કામ શરૂ કરાયું છે. મેયરના કાર્યકાળમાં થયેલા મુખ્ય કામોની યાદી 'અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે'ઉલ્લેખનીય છે કે, મેયર નયના પેઢડીયાએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, મારા કાર્યકાળમાં જનતાએ પણ મને ખૂબ સાથ-સહકાર આપ્યો છે. જોકે જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક અડચણ પણ થતી હોય, પણ તેમાં પણ સાથ-સહકાર મળેલો છે. અત્યારે રાજકોટમાં ભાગ્યે જ એવા વિસ્તાર હશે જ્યાં રોડના કામ બાકી હોય, જ્યાં બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં પુરા કરવામાં આવશે. ત્યારે આ અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે અને તે મારા માટે અસ્મરણીય કાળ બની રહેશે. જોકે અંદરખાને વારંવાર થયેલા વિવાદોમાં આવવાને કારણે તેઓ દુઃખી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. પણ આ માટે જવાબદાર વ્યક્તિનું નામ લેવાનું તેમણે ટાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:41 pm

કાળઝાળ ગરમીની અસર:સુરતના રામપુરામાં નવો બનેલો રોડ ઓગળ્યો, શૂઝ - ચપ્પલ અને વાહનોના ટાયર ચીપકવા લાગ્યા!

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ સુરતીઓ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ગરમીની ગંભીર અસર હવે શહેરના માળખાગત સુવિધાઓ પર પણ જોવા મળી રહી છે. સુરતના રામપુરા વિસ્તારમાં ગરમીને કારણે ડામર ઓગળવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નવો બનેલો રોડ બન્યો મુસીબત મળતી માહિતી મુજબ, રામપુરામાં કબીર મંદિર બીઆરટીએસ સ્ટેન્ડ પાસેનો રોડ થોડા સમય પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, દિન-પ્રતિદિન વધતા તાપમાન સામે આ રોડ ટકી શક્યો નથી. ભરબપોરે પડતી ગરમીને કારણે રોડ પરનો ડામર નરમ પડીને ઓગળવા લાગ્યો છે. વાહનચાલકોની હાલત કફોડી ડામર ઓગળવાને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ગરમીને કારણે ડામર એટલો ઓગળ્યો છે કે વાહનોના ટાયર રોડ સાથે ચીપકી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ટાયર ચીપકવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી રહી છે અને એન્જિન પર પણ લોડ આવી રહ્યો છે. રસ્તો ઓળંગતા રાહદારીઓના ચંપલ પણ ડામરમાં ચોંટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્રની કામગીરી સામે સવાલ માત્ર થોડા સમય પહેલા જ બનેલા રોડની આવી હાલત થતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને વપરાયેલા મટીરિયલની ગુણવત્તા સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. શું રોડ બનાવતી વખતે તાપમાન સહન કરવાની ક્ષમતા ચકાસવામાં આવી નહોતી? તેવો પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:40 pm

મોરબી પાસે યુવકનું અપહરણ લૂંટ કેસમાં ફરિયાદ:ફરજમાં બેદરકારી દાખવનાર ASIને SPએ સસ્પેન્ડ કર્યા, અપહરણ કરી માર મારીને 4 શખસોએ લૂંટ ચલાવી હતી

મોરબીના બેલા ગામ નજીક એક યુવાનનું અપહરણ કરી, તેને ઢોર માર મારી ₹37,000ની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદ લેવામાં વિલંબ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ASIને મોરબી SP મુકેશકુમાર પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, આ ગંભીર ગુનામાં ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનું સામે આવતા મોરબી એસપીએ કડક વલણ અપનાવ્યું છે. ફરજમાં બેદરકારી બદલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ASI સબળસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દેશી દારૂ લેવા ગયોને બનાવ બન્યોટંકારાના નેકનામ ગામના રહેવાસી અને વ્યવસાયે ડ્રાઈવર પ્રકાશ શેરસીયા (35) ગત 8 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જેતપર રોડ પર આવેલા બેલા ગામની સીમમાં રેન્જ સિરામિક પાસેથી પસાર થઈ રહ્યા હતા. રંગપર ગામ તરફ જવા દરમિયાન તેઓ મજૂરો માટે દેશી દારૂ લેવા રોકાયા હતા. આ સમયે એક્ટિવા અને સીએનજી રિક્ષામાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ અહીં કેમ ઉભો છે? તેમ કહી ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. અપહરણ અને લૂંટઆરોપીઓએ પ્રકાશનું રિક્ષામાં અપહરણ કરી તેને રેન્જ સિરામિક પાછળના ભાગે લઈ ગયા હતા. ત્યાં લાકડાના ધોકા અને પટ્ટા વડે તેને નિર્મમ રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવાનને આંખ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસેથી 35,000 રોકડા, સેમસંગ કંપનીનો મોબાઈલ મળી કુલ 37,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી અને સસ્પેન્શનભોગ બનનાર યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ, લૂંટ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. રેન્જ IGની સમીક્ષા બેઠક મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રેન્જ IG નિર્લિપ્ત રાયના અધ્યક્ષ સ્થાને 10 માર્ચે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુનાખોરી ડામવા અને કાયદાનું ચુસ્ત પાલન કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન, ફરજમાં શિથિલતા દાખવનાર કર્મચારી સામે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે. 2 દિવસ પહેલા મોરબી તાલુકાના પીપળી રોડ પર મારામારીની એક ઘટના બની હતી. આ બનાવમાં ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિલંબ પાછળ વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું જણાયું હતું. ફરજમાં બેદરકારી બદલ ASI સસ્પેન્ડ ફરિયાદ લેવામાં થયેલા વિલંબને ગંભીર ગણતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે ત્વરિત પગલાં લીધા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:26 pm

જેતલપુરધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ:ભાજપ પ્રદેશ પ્રમુખે આપી હાજરી, ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને મંદિર સાથે જોડવા આહ્વાન

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના હસ્તે જે 9 મંદિરોનું નિર્માણ કર્યું હતું, તેમાં જેતલપુરધામનું વિશેષ મહત્વ છે. અહીં બિરાજમાન રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં અત્યારે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. મૂર્તિ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'દ્વિશતાબ્દી પાટોત્સવ' તેના 6ઠ્ઠા દિવસે પહોંચ્યો છે. ભાવિ આચાર્ય 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ઉજવાઈ રહેલા આ 'અવસર' મહોત્સવમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હરિભક્તોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. જગદીશ વિશ્વકર્માનું ભાવુક સંબોધનકાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જગદીશ વિશ્વકર્માએ પોતાની જૂની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારથી જેતલપુરની પૂનમ ભરવા આવતા હતા, પરંતુ ક્યારેય કલ્પના નહોતી કરી કે ભગવાન સ્વામિનારાયણના આટલા આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમણે જેતલપુરધામના 200 વર્ષના ભવ્ય ઇતિહાસને બિરદાવતા કહ્યું કે, આ તીર્થધામ દ્વારા સનાતન ધર્મનો જે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તેના જ માર્ગે સરકાર અને સમાજ આગળ વધી રહ્યા છે. વધતી જતી ટેક્નોલોજીના પડકારો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજના AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને અદ્યતન ટેક્નોલોજીના યુગમાં જો આપણી નવી પેઢી મંદિર અને સંસ્કારોથી દૂર જશે, તો જીવનનું સૌથી અગત્યનું પાનું ખોવાઈ ગયું હોય તેવો ખાલીપો અનુભવાશે. તેમણે દરેક માતા-પિતાને વિનંતી કરી હતી કે બાળકોને મંદિર સાથે જોડી રાખવા જોઈએ જેથી તેઓ જીવનના દરેક તબક્કે જીવંત અને સકારાત્મક રહી શકે. આધ્યાત્મિકતા સાથે વિજ્ઞાન અને સમાજસેવાનો સંગમઆ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી, પરંતુ અહીં સામાજિક ઉત્થાન માટેના વિવિધ આયામો પણ જોવા મળ્યા છે. જગદીશ વિશ્વકર્માએ મહોત્સવ સ્થળે તૈયાર કરાયેલી વિવિધ પ્રદર્શનીઓની મુલાકાત લીધી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂર પ્રદર્શની, બાળકો માટેની બાળ નગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તમામ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર દરેક મુલાકાતીને જ્ઞાન અને સંસ્કાર સાથે પરત મોકલવાનો છે. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ ભવ્ય મહોત્સવમાં સમાજ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પણ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. જેમાં મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલના ચેરમેન બિપિનભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના રીટાયર્ડ ચીફ જસ્ટીસ એ. એલ. દવે સહિતના મહાનુભાવોએ આશીર્વાદ મેળવ્યા હતા. ઐતિહાસિક મહત્વ અને પાટોત્સવની વિગતોઉલ્લેખનીય છે કે, આગામી વિક્રમ સંવત 2082 ના ફાગણ વદ આઠમ એટલે કે તારીખ 11-03-2026 ના રોજ આ મંદિરના 200 વર્ષ પૂર્ણ થાય છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે નરનારાયણદેવ પીઠાધિપતિ 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ 1008 તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તારીખ 05 માર્ચથી 11 માર્ચ સુધી આ ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે આ ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થશે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:23 pm

વારસિયામાં ટેઉરામજી સર્કલનું લોકાર્પણ:ચેટ્ટીચંડ પર્વે 19 માર્ચે મહાભંડારો અને 20 મીએ ભવ્ય શોભાયાત્રાનું વિશેષ આયોજન

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ દરબાર અને સિંધુ સાગર પાસે નવનિર્મિત સદગુર સ્વામી ટેઉરામજી સર્કલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ-સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની વિશાળ હાજરીમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સર્કલ આસપાસ લગાડવામાં આવેલા આકર્ષક રંગબેરંગી ફુવારાઓ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિઆ લોકાર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, કોમલબેન કુકરેજા અને શીતલ મિસ્ત્રી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમની સાથે વોર્ડ નંબર 6ના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો અને મંત્રીઓ પણ જોડાયા હતા. સિંધી સમાજના પ્રમુખ અગ્રણીઓ સન્મુખ જ્ઞાનચંધાણી અને સુનિલ બાલાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ દરબારના ભક્તોએ આ ઉત્સવમાં સહભાગી થઈને કાર્યક્રમની શોભા વધારી હતી. ચેટ્ટીચંડ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની જાહેરાતલોકાર્પણ પ્રસંગે સન્મુખ જ્ઞાનચંધાણીએ આગામી સિંધી સમાજના પવિત્ર તહેવાર 'ચેટ્ટીચંડ' વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે પણ આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત 19 માર્ચના રોજ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 20 માર્ચના રોજ સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:17 pm

બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનો જ્ઞાન-પ્રકૃતિનો સંગમ:NEP-2020 સેમિનારમાં બૌદ્ધિક જ્ઞાનાર્જન, સેમિનારમાં 74 છાત્રો સહભાગી

જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા તાજેતરમાં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે 'લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ગખંડના શિક્ષણને વ્યાવહારિક અનુભવો સાથે જોડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ પ્રવાસમાં 51 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 74 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મંચ પર અભિવ્યક્તિની તક મળી હતી. NEP-2020 સેમિનારમાં બૌદ્ધિક જ્ઞાનાર્જનપ્રવાસના પ્રથમ તબક્કે વિદ્યાર્થીઓએ ધારીની યોગીજી મહારાજ વાણિજ્ય અને વિનયન મહાવિદ્યાલય ખાતે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020' વિષયક સેમિનારમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મનોજ સોની અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં સક્રિય યોગદાન આપનાર તમામ 74 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આંબરડી સફારી પાર્કમાં પ્રકૃતિ દર્શનશૈક્ષણિક સત્ર બાદ વિદ્યાર્થીઓએ ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અનુભવી હતી. ત્યારબાદ આંબરડી સફારી પાર્કની મુલાકાત દરમિયાન એશિયાટિક સિંહોને નિહાળવાનો લ્હાવો લીધો હતો. અહીં વિદ્યાર્થીઓએ જંગલની ઇકોસિસ્ટમ, વન્યજીવોના વર્તન અને સિંહોના સંવર્ધન વિશેની ગહન માહિતી મેળવી હતી. સફળ આયોજન અને વ્યવસ્થાપનઆચાર્ય ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભાવસિંહ બારડ, સિનિયર પ્રાધ્યાપક આર. એચ. પરમાર, ડો. દીનાબેન લોઢીયા, ડો. ભરત રાઠોડ, ભાવિક ચાવડા અને અમિતભાઈ આચાર્યએ પ્રવાસનું સુચારુ સંચાલન કર્યું હતું. આ પ્રવાસ વિદ્યાર્થીઓના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે અત્યંત ફળદાયી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:14 pm

સંગઠન પ્રભારી અનિરુધ્ધ દવે રાજકોટની મુલાકાતે:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા અલગ અલગ શ્રેણીના કાર્યકર્તા સાથે કરશે બેઠક, ત્રિ-પાંખિયા જંગ વચ્ચે પણ તમામ વોર્ડમાં ભાજપનો વિજય નિશ્ચિત છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી અનિરુધ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટમાં તેઓ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા દરેક બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ ત્રિપાંખિયો જંગ થવાનો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ કમલમ ખાતે પ્રભારીના આગમન પૂર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમા નવા સંગઠન માળખા અને હોદેદારોની નિમણુંકને લઇ ક્યાંક નારાજગી અને રોષ જરૂર જોવા મળ્યો હતો જો કે ખુલીને કોઈ વિરોધ ન કરી શકતા હોવાથી આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાનો અસંતોષ કેટલી અને કેવી અસર પહોંચાડશે તે જોવું મહત્વનું રહેશે. રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુધ્ધભાઈ દવે આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. સવારે રાજકોટ પહોચતાની સાથે 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોકથી કમલમ કાર્યાલય સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઈક રેલી યોજી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સત્કાર સમારંભ, આ પછી મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથે બેઠક યોજવામાં આવશે આ પછી પ્રદેશ ભાજપના હોદેદારો, શહેર સંગઠનના હોદેદારો, અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજી છેલ્લે તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક યોજવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. અનિરુધ્ધ દવેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના પ્રભારી બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પછી તમામ શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તા સાથે બેઠક યોજવામાં આવશે. રાજકોટમાં પણ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આગામી ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ વોર્ડની અંદર ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતા ત્રિ-પાંખિયો જંગ થવાથી કેટલી અસર થશે પૂછતાં તેમને વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી છે માટે તેમના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય ગુજરાતની તમામ ચૂંટણીઓમાં નિશ્ચિત ગણાવ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા સવારે 9 વાગ્યે તમામ કાર્યકર્તાને બોલાવવામાં આવ્યા હતા જો કે પ્રભારી 10 વાગ્યા બાદ આવતા લગભગ એકાદ કલાક સુધી રાજકોટ કમલમની અંદર અને બહાર અલગ અલગ ખૂણે નવા સંગઠન માળખાને લઇ નારાજગી અને રોષ જોવા મળતો હતો. કોંગ્રેસમાંથી આવી અને ભાજપના નેતા બનેલા નેતાઓથી ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં આ વખતે ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો જો કે ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી કહેવામાં આવતી હોવાથી પ્રભારી આવતાની સાથે તમામ કાર્યકર્તા સ્વાગતમાં જોડાઈ ગયા હતા. જો કે હવે પાયાના કાર્યકર્તાઓની નરાજગી અને રોષ આવતી ચૂંટણીમાં કેટલી અને કેવી રીતે જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે.. પ્રભારીના આગમન બાદ તમામ નેતાઓ પ્રમુખ ચેમ્બરમાં ચા-પાણી પીવા બેઠા હતા અને ફોટો પડાવી રહ્યા હતા આ સમયે પણ મીઠો કકળાટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ શહેર ભાજપમાં નવું સંગઠન માળખું બનાવવામાં આવ્યું છે જો કે આમ છતાં જુના હોદેદારોને હજુ મોહ ન છુટતો હોય તેમ પ્રમુખ ચેમ્બરમાં નવા મહામંત્રીના બદલે જુના મહામંત્રી પ્રમુખ અને પ્રભારી સાથે ફરતે ખુરશી પર બેસી ચા પુત્ર હતા અને નવા મહામંત્રી ઉભા હોવાનો ગણગણાટ કાર્યકર્તામાં થતો સંભળાયો હતો. એટલું જ નહિ મનપાના પદાધિકારીઓ ફોટો પડાવતા હતા આ સમયે એક પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે છેલ્લો ફોટો પડાવી લો જેથી તુરંત એક પદાધિકારીએ શું બોલ્યા પૂછતાં તેમણે કહ્યું કે આજે છેલ્લો દિવસ છે એટલે કવ છું છેલ્લો ફોટો પડાવી લો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:14 pm

પાટણમાં 62.92 લાખના ખર્ચે 17 વિસ્તારોમાં પાણી લાઈન:ઈન્દ્રપ્રસ્થ સોસાયટી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના 17 વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 62.92 લાખ રૂપિયા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના માળખાગત વિકાસ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાનો હેતુ છે. કુલ 17 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં નવી પાઈપલાઈન નાખવામાં આવશે. મુખ્યત્વે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રવેશદ્વારથી રોયલ પેલેસ સોસાયટીના પ્રવેશદ્વાર સુધી 8 ઇંચ ડાયાની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. આ ઉપરાંત, સિદ્ધપુર રોડ પર આવેલા ફાઈવ એલપી બોરથી ગણેશ વિહાર થઈ સુરમ્ય સોસાયટી સુધી 6 ઇંચ ડાયાની પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ સમગ્ર પેકેજની કુલ રકમ 62,92,140 રૂપિયા છે, જે 17 વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદ કરશે. આ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના નેતા દશરથજી ઠાકોર સહિત વિવિધ વોર્ડના નગરસેવકો અને સંગઠનના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં આ નવી પાઈપલાઈન નંખાઈ જવાથી સંબંધિત સોસાયટીઓના રહીશોને પીવાના પાણીની સુવિધામાં મોટી રાહત મળશે. આનાથી લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:12 pm

ઝાંપોદર ગામે 'સેવાસેતુ 2.0' કાર્યક્રમ:આઠ ગામોના અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદર ગામે 'સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના અભિગમ મુજબ, છેવાડાના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘર આંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો. ઝાંપોદરના કનેરિયા પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના 8 જેટલા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 8 ગામોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલઆ સેવાસેતુ કાર્યક્રમમાં ઝાંપોદર સહિત ડુંગરી, નરેડી, નાવડા, મેઘપુર, ઘંટીયા, બંટીયા અને સાંતલપુર ગામના નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી વ્યક્તિલક્ષી અરજીઓ અને વિવિધ સરકારી સેવાઓના ફોર્મનો વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રામજનોનો સમય અને શક્તિ બંનેની બચત થઈ હતી. લાભાર્થીઓએ વ્યક્ત કર્યો સંતોષકાર્યક્રમના સફળ આયોજન અંગે લાભાર્થી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, સરકારની તમામ સેવાઓ એક જ છત નીચે મળી રહેતી હોવાથી ગ્રામજનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની આ પારદર્શક કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો. આ કાર્યક્રમ થકી જનસુખાકારીના કાર્યોમાં ઝડપ આવતા ગ્રામીણ સ્તરે સંતોષની લાગણી ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:11 pm

ઉદ્યોગો માટે ગાંધીનગરમાં નવી ટેકનિકલ સુવિધા:ગાંધીનગર EQDC ખાતે આધુનિક લેબોરેટરી અને તાલીમ કેન્દ્ર સાથે MSME બનશે ગ્લોબલ

ગાંધીનગર સ્થિત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC) ખાતે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઉદ્યોગ ક્ષેત્રે વધુ એક પ્રોત્સાહક પહેલ કરી છે. ઉદ્યોગ રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે EQDC ખાતે અત્યાધુનિક ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રીએ તકતીનું અનાવરણ કરી આ નવી સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક સ્તરે ટેસ્ટિંગ સુવિધાથી ઉદ્યોગોને મોટો ફાયદોનવી શરૂ થયેલી ઉર્જા લેબોરેટરીમાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર અને ઇન્સ્યુલેટર જેવા ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી જે પરીક્ષણો માટે ઉદ્યોગોને અન્ય રાજ્યો કે દૂરના કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે ગાંધીનગરમાં સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે. આનાથી ઉદ્યોગોની પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સના ગુણવત્તા મૂલ્યાંકનની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે કૌશલ્ય વિકાસનું કેન્દ્રવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મેક ઈન ઇન્ડિયા” અને “સ્કિલ ઇન્ડિયા”ના વિઝનને સાકાર કરવાના હેતુથી અહીં એક અદ્યતન તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાસ કરીને MSME ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટનું હબ બનશે. અહીં ઇજનેરો, ટેકનિશિયનો અને વિદ્યાર્થીઓને એનર્જી મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને રિન્યૂએબલ એનર્જી ટેકનોલોજી જેવી આધુનિક તાલીમ આપવામાં આવશે. સંવાદ અને નીતિ નિર્ધારણ માટે આધુનિક કોન્ફરન્સ રૂમઉદ્યોગ જગતના નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે શ્રેષ્ઠ સંવાદ સ્થાપિત કરવા માટે એક નવો કોન્ફરન્સ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ અને ઉર્જા ક્ષેત્રમાં નવા વિચારો, નવી ટેકનોલોજી અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વનું માધ્યમ સાબિત થશે. આ ઉદ્ઘાટન પ્રસંગે અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) મમતા વર્મા (IAS), ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી. (IAS) સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલી આ સુવિધાઓ રાજ્યને ઉર્જા કાર્યક્ષમતામાં દેશભરમાં અગ્રેસર બનાવવામાં સહાયક બનશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:08 pm

બોટાદમાં પાણી-રસ્તાના અભાવે સ્થાનિકોનો વિરોધ:બાપા સીતારામ નગર, તુલસી નગર-2ના રહીશો વર્ષોથી સુવિધાઓથી વંચિત

બોટાદ શહેરના વિકાસના દાવાઓ વચ્ચે ઢાંકણિયા રોડ પર આવેલા બાપા સીતારામ નગર અને તુલસી નગર-2ના રહીશો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીવાના પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાથી સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. આજે સ્થાનિકોએ એકત્રિત થઈ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 11માં આવેલા આ વિસ્તારોમાં સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધી રોડ-રસ્તા કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. સોસાયટીમાં પાકા રોડના અભાવે રહીશો કાચા અને ધૂળિયા માર્ગો પરથી અવરજવર કરવા મજબૂર છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ રસ્તાઓ કાદવ અને કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પીવાના પાણી માટે પણ કોઈ નિયમિત વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે અથવા ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. આ સ્થિતિ વર્ષોથી યથાવત છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ પ્રશ્નોને લઈને અનેક વખત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સોસાયટીમાં વહેલી તકે પાકા સીસી રોડ બનાવવામાં આવે અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:07 pm

બોટાદ જિલ્લામા LPG સિલિન્ડર વિતરણમાં કાપ:યુદ્ધને કારણે હવે મહિને ફક્ત એક જ સિલિન્ડર મળશે; મોટા પરિવારોને મુશ્કેલી

બોટાદ જિલ્લામાં LPG ગેસ સિલિન્ડરના વિતરણમાં કાપ મૂકવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિના પ્રભાવ હેઠળ, હવે ગ્રાહકોને મહિનામાં ફક્ત એક જ ગેસ સિલિન્ડર મળશે. અગાઉ, ગ્રાહકોને મહિનામાં બે થી ત્રણ સિલિન્ડર મળતા હતા. આ નિર્ણયથી મોટા પરિવારોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમને એક સિલિન્ડર પૂરતો નથી. ગ્રાહકોએ સરકાર સમક્ષ રાબેતા મુજબ વિતરણ ફરી શરૂ કરવાની માંગ કરી છે. ગઢડા પટેલ ગેસ એજન્સીના મેનેજર કલ્પેશભાઈ ડાભીએ જણાવ્યું કે ગેસની કોઈ અછત નથી, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે ઓઈલ કંપનીઓ દ્વારા 50 ટકા જ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આથી, જે બુકિંગ અગાઉ 15 દિવસે થતું હતું, તે હવે મહિનામાં એક જ વાર થશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:57 am

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા યુવકના મોબાઈલમાંથી દેહવેપારનો પર્દાફાશ:સો. મીડિયામાં દેહવેપાર ચલાવતા હતા, ગોવા પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને રીપોર્ટ આપતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સોશિયલ મીડિયા મારફતે ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચના સંકજામાં આવેલા લોકો ગોવામાં ડ્રગ્સ રેકેસમાં ઝડપાયા હતાં. જેમના મોબાઇલની તપાસ બાદ ગોવાના અધિકારીએ ક્રાઈમ બ્રાંચને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. FSLમાં મોબાઈલ મોકલ્યો ને દેહવેપારનો કાળો કારોબાર ખુલ્યોનોર્થ ગોવા પોલીસે પણજી ખાતે રેડ કરી હતી અને 4.325 કિલો કોકેન સાથે નીબુ વિન્સેન્ટ, રેશ્મા વાડેકર, માંગેશ વાડેકર અને ચિરાગ દુધાતની ધરપકડ કરી હતી. ગોવા પોલીસે ચિરાગ દુધાતનો મોબાઈલ જપ્ત કર્યો હતો અને તેને FSLમાં મોકલી આપ્યો હતો. એફએસએલના રીપોર્ટમાં ઘણો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. જેમાં સામે આવ્યુ હતું કે, ચિરાગ દેહવેપારનો કારોબાર ચલાવી રહ્યો છે. ચિરાગ ઉર્ફે મોન્ટી દુધાત અને માસુમ ઉર્ફે માહી (બન્ને રહે, દેવનંદર સંકલ્પ સીટી, નવાનરોડા) વિરૂદ્ધ ફરિયાદ થઈ છે કે દેહવેપારનો કારોબાર કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમે ઘટનાની ગંભીરતા લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બંને સોશિયલ મીડિયા મારફતે દેહવેપાર ચલાવતા હતાંતપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, ચિરાગ દુધાત અને માસુમ દેહવેપારના ધંધામાં સંડોવાયેલા છે અને ગ્રાહકોનો ડેટા પણ તેમની પાસે છે. ચિરાગ અને માસુમ દેશભરમાંથી રૂપલલનાઓને લાવતા હતા અને ત્યારબાદ દેહવેપારનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતાં. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંકડીન એકાઉન્ટ તેમજ ઈન્ટરનેટના માધ્યમથી દેહવેપાર ચલાવતા હતાં. એક યુવક ગોવાની જેલમાં હાલ ચિરાગ દુધાત ગોવાની જેલમાં છે અને ક્રાઈમ બ્રાંચે ઉડાણ પુર્વક તપાસ સરૂ કરી છે. ગોવાના ઉચ્ચ અધિકારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. મોબાઈલમાંથી યુવતીના ફોટોગ્રાફ્સ સહિતની વિગતો મળીગોવા પોલીસે અનુપ નામના સાક્ષીનું નિવેદન પણ લીધુ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, જ્યારે ચિરાગ અને માહી અમદાવાદમાં રહેતા હતા ત્યારે તે ઓનલાઈન દેહવેપારનો ધંધો ચલાવતા હતાં. અનુપ 20 દીવસ સુધી અમદાવાદમાં રોકાયો હતો જ્યા બન્નેનો ધંધો જોયો હતો. ચિરાગના મોબાઈલમાંથી હોટેલના નામ, યુવતીના ફોટોગ્રાફ્સ તેમજ વિવિધ વિગતો મળી આવી છે. ગોવાના અધિકારીએ પત્ર લખ્યા બાદ ગુનો દાખલ કર્યો છે. ડ્રગ્સ કેસ ને દેહવ્યાપારના કાળા કરતૂતચિરાગ દુધાત જે યુવતીઓના ફોટોગ્રાફ્સ મોકલી આપતો હતો તેના રેટનું લિસ્ટ પણ મોકલી આપતો હતો. સોશિયલ મીડિયા મારફતે આ કારોબાર થતો હતો જેનાથી પોલીસ ખુદ અજાણ હતી. ડ્રગ્સ કેસમાં ચિરાગ ઝડપાયો તે પહેલા તે દેહવેપારમાં પણ ઝડપાઈ ચુક્યો હતો. હાલ ચિરાગ દુધાત જોડે કેટલાક કેટલા દલાલો સંડોવાયેલા છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:49 am

છોટા ઉદેપુરના જર્જરિત ભીલપુર બસ સ્ટેન્ડનો વીડિયો વાયરલ:મુસાફરોમાં જાનહાનિનો ભય; નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠી

છોટા ઉદેપુર તાલુકાના ભીલપુર ખાતે આવેલું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં છે. સ્થાનિક યુવકોએ આ અંગે એક વીડિયો બનાવી વાયરલ કર્યો છે અને તંત્ર સમક્ષ નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો પ્રદેશ છે. અહીં વર્ષો પહેલા ગામેગામ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા હાલ જર્જરિત થઈ ગયા છે. ભીલપુરનું બસ સ્ટેન્ડ પણ તેમાંથી એક છે અને ગ્રામજનોને ભય છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. મહત્વની વાત એ છે કે દર શનિવારે ભીલપુર ખાતે હાટ બજાર ભરાય છે. આ સમયે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે અને બસ સ્ટેન્ડ પર બેસીને વાહનોની રાહ જોતા હોય છે. સ્થાનિક યુવકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ જર્જરિત બસ સ્ટેન્ડ તૂટી પડે અને કોઈ જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોની રહેશે? તેમણે તાત્કાલિક ધોરણે નવું અને સુરક્ષિત બસ સ્ટેન્ડ બનાવવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:43 am

હળવદના કડીયાણા ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ:જૂના ઝઘડાના સમાધાન માટે મળ્યાં; વાત વણસતાં છરી, તલવાર, કુહાડી અને લોખંડની પાઇપ ઉછળી, વીડિયો વાઈરલ

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં છરી, તલવાર, કુહાડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો ઉડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામં વાઈરલ થયો છે. આ સંઘર્ષમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હળવદ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલોકડીયાણાના દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (47)એ મહાદેવ કાળુ કોળી, સામત મહાદેવ કોળી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ મુજબ, આરોપીઓએ સમાધાનના બહાને બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી, તલવાર અને કુહાડી વડે હુમલો કરી જશીબેનને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમના પુત્ર નવઘણને પણ છાતી અને પેટના ભાગે હથિયારોના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સામા પક્ષની ફરિયાદ બીજી તરફ, રાયધ્રા ગામના મહાદેવ કાળુ દેત્રોજા (40)એ નવઘણ કાળુ દેવીપુજક અને વિક્રમ (બંને રહે. કડીયાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, અગાઉની અદાવતમાં નવઘણે ફોન પર ગાળો આપી હતી. આ બાબતે વાતચીત કરવા માટે માથક ચોકડી પાસે એકઠા થયેલા પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન નવઘણે લોખંડના પાઇપથી મહાદેવના હાથમાં ઈજા કરી હતી, જ્યારે વિક્રમે લાકડાના ધોકા વડે મહાદેવ અને સામતને આડેધડ માર માર્યો હતો. હુમલામાં મહાદેવને માથા અને હાથના ભાગે તથા સામતને કાન પાસે ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલઆ હિંસક અથડામણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. હળવદ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:39 am

લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધુ એક ફરિયાદ:તલોદમાં દંપતી સહિત ચાર સામે છેતરપિંડીનો ગુનો, ઘરે તપાસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તલોદ પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં, હિંમતનગર બી ડિવિઝન પોલીસે રિમાન્ડ પર રહેલા મુખ્ય દંપતીના ઘરે તપાસ હાથ ધરી હતી. હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં ઝડપાયેલા મનોજભાઈ સોની અને કવિતાબેન મનોજભાઈ સોનીના ઘરે પોલીસ ટીમ તપાસ માટે પહોંચી હતી. આ તપાસ દરમિયાન, 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો'ના કાર્ડ સહિતના કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. હિંમતનગર પોલીસે આ ગેંગનો ભોગ બનેલા અન્ય પીડિતોને આગળ આવવા અને કાર્યવાહી માટે 9998828188 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે. તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નવી ફરિયાદ મુજબ, તલોદ તાલુકાના મોઢુકા ગામના ખેડૂત પરેશકુમાર ભોગીલાલ પટેલ 10 માર્ચ, 2024ના સમયગાળામાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો'ના સંચાલક મનોજભાઈ સોની અને તેમની પત્ની કવિતાબેન સોનીએ પરેશભાઈને સારી છોકરી સાથે લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મનોજભાઈ, કવિતાબેન અને મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા જ્યોતિબેન પ્રતાપસિંહ વણઝારાએ મળીને ઈન્દોરની પ્રતિભાબેન જગદીશભાઈ ચૌધરી સાથે પરેશભાઈના લગ્ન કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ લગ્ન કરાવવા પેટે પરેશભાઈ પાસેથી રૂ. 3,25,000 દલાલી તરીકે લેવામાં આવ્યા હતા. લગ્નના આશરે એક મહિનામાં જ પ્રતિભા ચૌધરીએ પરેશભાઈના ઘરે ફાવતું ન હોવાના અને અન્ય ખોટા બહાના રજૂ કરી છૂટાછેડા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, મનોજભાઈ, કવિતાબેન અને જ્યોતિબેને મળીને પ્રતિભા ચૌધરીના પરેશભાઈ સાથે છૂટાછેડા કરાવી દીધા હતા. આ પ્રક્રિયામાં, પરેશભાઈ પાસેથી લીધેલા રૂ. 3,25,000 પરત કરવામાં આવ્યા ન હતા, આમ ગેંગ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ફરિયાદમાં નીચે મુજબના ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે: 1. મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની, રહે. મ.નં. 46, અર્બુદાનગર સોસાયટી, કાંકરોલ રોડ, હિંમતનગર. 2. કવિતાબેન વા.ઓ. મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની (દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક), રહે. મ.નં. 46, અર્બુદાનગર સોસાયટી, કાંકરોલ રોડ, હિંમતનગર. 3. જ્યોતિબેન પ્રતાપસિંહ વણઝારા, રહે. ઈન્દોર (મધ્યપ્રદેશ). 4. પ્રતિભાબેન જગદીશભાઈ ચૌધરી, રહે. 903/6 નેહરુનગર, ઈન્દોર (મધ્યપ્રદેશ).

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:26 am

બોરતળાવ મફતનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:રામાપીર ચોકમાં રમતા હતા ને પોલીસ ત્રાટકી, 13 હજાર રોકડ જપ્ત; જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

ભાવનગર બોરતળાવ પોલીસે બોરતળાવ મફતનગર રામાપીર ચોક પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી હારજીતનો જુગાર રમતા 3 શખ્સોને ગંજીપતા અને રોકડ 13,580 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મફતનગર રામાપીર ચોક પાસે જુગાર રમતા 3 શખ્સ મળતી માહિતી અનુસાર, બોરતળાવ પોલીસ પ્રોહી જુગાર દ્રાઈવ અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના બોરતળાવ મફતનગર રામાપીર ચોક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમે છે. 13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયોજે બાતમી આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. તપાસ દરમ્યાન કમલેશ ઉર્ફે કમો શાંતિભાઈ પરમાર, નયન ભુપતભાઇ ડાભી, મહેશ ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર તમામ ભાવનગર રહેવાસીઓને ગંજીપતા અને રોકડ 13,580 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં. જુગારધારા હેઠળ ગુનો નોંધાયોપોલીસે ગંજીપતા અને રોકડ રૂ.13,580 સહિતનો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલિસ મથક માં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:21 am

પોરબંદરમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું:સામાજિક એકતા અને સંસ્કૃતિ સંરક્ષણનો સંદેશ અપાયો

પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર સ્થિત વાધેશ્વરી વસતી વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે હિંદુ સમાજ દ્વારા એક વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક હિંદુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન સાથે કરવામાં આવી હતી. આ અવસરે Xtreme Gym દ્વારા ‘Operation Sindoor’ વિષય પર એક પ્રેરણાદાયી કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ વધાવી લીધી હતી. સંમેલન દરમિયાન હિંદુ સમાજમાં એકતા, સાંસ્કૃતિક સંરક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વક્તાઓએ પોતાના સંબોધનમાં હિંદુ સમાજને સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવના મજબૂત બનાવવા માટે એકજૂથ થઈને કાર્ય કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઓરડીધામ સતાપરના ભુવા આતા અમરાઆતા પરબતઆતા ઉલવા, ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્યવાહ કૌશલભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ સંમેલનને સફળ બનાવવા માટે વાધેશ્વરી વસતી વિસ્તારના ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:18 am

ગઢડાના વનાળી ગામે મારામારી:ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વનાળી ગામે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનિલભાઈ જાદવ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હતો, જેના પગલે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ગઢડા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વનાળી ગામના વિનુભાઈ જાદવ, જયસુખભાઈ જાદવ, કિશોરભાઈ જાદવ અને રમેશભાઈ જાદવ અનિલભાઈ જાદવના ઘરે પહોંચ્યા હતા. તેઓએ અનિલભાઈના ભાઈ અને પોતાની દીકરી ભાગી જવાના મુદ્દે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા, આરોપીઓએ ઉશ્કેરાઈને અનિલભાઈ પર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ અને સીટી સ્કેન માટે તેમને બોટાદ રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ એક્ટ (GP Act) કલમ 135 હેઠળ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:08 am

ડ્રેનેજ કામગીરી બાદ પુરાણ ન થતા ટેમ્પો ખૂંપ્યો:નવસારી-ગણદેવી રોડ પર વિશાલનગર પાસે પાલિકાની બેદરકારી

નવસારી-ગણદેવી માર્ગ પર વિશાલનગર પાસે નવસારી વિજલપોર નગરપાલિકાની બેદરકારીને કારણે એક માલવાહક ટેમ્પો રસ્તામાં ખૂંપી ગયો હતો. ડ્રેનેજ અને પાણીની લાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરાતા આ ઘટના બની હતી. આ અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલનગરની બહાર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ અને પાણીની નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાએ રસ્તાની કિનારે માટીનું યોગ્ય પુરાણ કે લેવલિંગ કર્યું નહોતું. પરિણામે, રસ્તાની ધાર નબળી પડી ગઈ હતી. આજે આ માર્ગ પરથી પસાર થતો એક ટેમ્પો અચાનક નરમ જમીનમાં ઉતરી ગયો હતો. ટેમ્પો એવી રીતે ખૂંપ્યો હતો કે તે ગમે ત્યારે પલટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પોમાં રહેલો સામાન અને વાહનને બચાવવા માટે તાત્કાલિક લાકડાના મોટા ટેકા ગોઠવવા પડ્યા હતા. આ ઘટનાને પગલે ગણદેવી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ ટાળવા માટે વિશાલનગર પાસેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા વિકાસના કામો કરે છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાને પૂર્વવત કરવામાં બેદરકારી દાખવે છે, જે વાહનચાલકો માટે જોખમી બની શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:06 am

મોઢેરા ચોકડી અને રાધનપુર રોડ પરથી અડચણરૂપ 15 લારીઓ હટાવાઈ:ગંદકી કરનારા 30 નાસ્તા સ્ટોલધારકોને દંડ, ખાણીપીણીના બજારોમાં મહેસાણા મનપાનું સરપ્રાઈઝ ચેકિંગ

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ધમધમતા ખાણીપીણીના બજારોમાં મહાનગરપાલિકાની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. જાહેર રસ્તાઓ પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા 30 જેટલા નાસ્તા સ્ટોલધારકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ.13,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોઢેરા ચોકડી અને રાધનપુર રોડ પર ટ્રાફિકને અવરોધતી 15 જેટલી લારીઓને પણ તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. જાહેર રોડ પર ગંદકી કરતાં 30 જેટલા નાસ્તા સ્ટોલધારકો દંડાયાશહેરના મોઢેરા ચોકડી, રાધનપુર રોડ,નાગલપુર,સોમનાથ ચોક અને માનવ આશ્રમ સર્કલ જેવા વિસ્તારોમાં રાત પડતા જ નાસ્તાના સ્ટોલ અને ફાસ્ટ ફૂડની લારીઓ પર ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડે છે. આ દરમિયાન અનેક સ્ટોલધારકો ખાદ્યપદાર્થોનો એંઠવાડ, પ્લાસ્ટિક રેપર, પેપર કપ અને વધેલો ખોરાક જાહેર રોડ પર જ ફેંકી ગંદકી કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.આ બાબતને ગંભીરતાથી લઈ મનપાની સેનેટરી ટીમ અને દબાણ હટાવ વિભાગના કાફલાએ ગઈકાલે રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટ્રાફિકને નડતરરૂપ 15 લારીઓ મનપાએ જપ્ત કરીતંત્રની આ કાર્યવાહી દરમિયાન ગંદકી કરતા 30 જેટલા લારી-ગલ્લા અને મોબાઈલ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોને દંડ ફટકારી તાકીદ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં ગંદકી જણાશે તો વધુ કડક પગલાં લેવાશે. બીજી તરફ,મોઢેરા ચોકડી અને રાધનપુર રોડ પર ટ્રાફિકને નડતરરૂપ ઊભેલી 8 શાકભાજીની લારીઓ સહિત કુલ 15 લારીઓ જપ્ત કરી મનપાના ગોડાઉન ખાતે ખસેડવામાં આવી હતી.મનપાની આ આકસ્મિક કાર્યવાહીને પગલે અનધિકૃત દબાણ કરનારા અને ગંદકી ફેલાવનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:59 am

ફૂલનાથ મહાદેવ પાસે જળસંચય કાર્યનો પ્રારંભ:જામજોધપુર રોટરી ક્લબ અને BJS જૈન સંગઠન દ્વારા તળાવમાંથી કાંપ દૂર કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ-સંચય અભિયાનના આહ્વાનને પગલે જામનગર જિલ્લામાં જળસંચયનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ જામનગર અને બી.જે.એસ. - જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના ૨૮થી વધુ ગામોને પસંદ કરવામાં આવ્યા છે. આ ગામોમાં તળાવ અને ચેક-ડેમ જેવા જળ-સ્ત્રોતોમાંથી માટી-કાંપ દૂર કરીને દરેક ગામમાં ૧.૨૫ કરોડ લિટરથી વધુ વર્ષા-જળ સંચય થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ શ્રુંખલામાં જામજોધપુર તાલુકાના વિખ્યાત ફૂલનાથ મહાદેવ મંદિર પાસે આવેલા તળાવમાંથી માટી-કાંપ દૂર કરીને જળ સંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યનું મુહૂર્ત કરવામાં આવ્યું. ફૂલનાથ મહાદેવ મંદિરના મહંતના આશીર્વાદ સાથે આ કાર્યનો પ્રારંભ થયો. આ પ્રસંગે સડોદરના સરપંચ, બુટાવદરાના સરપંચ, સડોદરના જૈન અગ્રણી મધુભાઈ મહેતા, ધુન-ધોરાજીના અગ્રણી મોહિતભાઈ અજુડિયા, જિલ્લા-પંચાયતના અધિકારીઓ, તેમજ જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના પ્રમુખ જીગ્નેશભાઈ શાહ, નવીનભાઈ કોઠારી, આશિષભાઈ દોશી અને કૌશલભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. મહંત સુંદરનાથજી બાપુના આશીર્વચન અને નવકારમંત્રના પઠન સાથે જળ-સંચયના કાર્યનો શુભારંભ કરાયો હતો. આ જળ-સંચયના કાર્યથી આ વિસ્તારમાં એક કરોડ લિટરથી વધુ વર્ષા જળ સંચિત થશે. આ સંગ્રહિત જળ આસપાસના અનેક લોકોને તેમજ પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખર માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:58 am

6 પોલીસ સ્ટેશન સાથે DCP ઝોન-8 ઓફિસ શરૂ:ઇન્ડસ્ટ્રીયલ-રીંગરોડ વિસ્તારનો સમાવેશ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશન નવું બનશે; ઝોન-2માં મોટેરા પોલીસ સ્ટેશન નવું બનશે

રાજ્યની સૌથી વધુ વસ્તી ધરાવતા તેમજ આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની હદમાં ફેરફાર કરીને નવો ઝોન ઉભો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં નવા ઝોન 8ના ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નવી ડીસીપી ઝોન 8 કચેરી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઝોન 8 વિસ્તારમાં નવા વસ્ત્રાલ પોલીસ સ્ટેશન સાથે કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવનાર છે. નવા ઝોનની સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી અને જાહેરાત કરવામાં આવશે. નવા ઝોન 8 ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂકઅમદાવાદ રાજ્યનું આર્થિક પાટનગરની સાથે સૌથી મહત્વનું શહેર છે. વધારે વસ્તીના કારણે નાના-મોટા ગુનાઓ બનતા હોય છે. ઉચ્ચ અધિકારીઓનું મોનિટરિંગથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી રીતે રહે તેના માટે પોલીસ સ્ટેશનોની હદમાં ફેરફાર કરીને નવો ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગેની રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. નવા ઝોન માટેની દરખાસ્ત અને આગામી દિવસોમાં મંજૂરી મળશે જેને લઇને નવા ઝોન 8 ડીસીપી તરીકે મયુર પાટીલની નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવી છે. નવા ઝોનમાં પોલીસ સ્ટેશનો પણ દરખાસ્ત મુજબ નક્કીઅમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા નવા ઝોન 8ની ડીસીપી ઓફિસ રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. જેથી રામોલ પોલીસ સ્ટેશનની ઉપર ઝોન 8 ડીસીપીની ઓફિસ રહેશે. પોલીસ કમિશનર દ્વારા ઝોન 5 ડીસીપી અને નવા ઝોન 8 ડીસીપી મયુર પાટીલ સાથે રામોલ પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લઈને નવી ડીસીપી ઓફિસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ નવી ડીસીપી ઓફિસ શરૂ કરવા માટેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નવા ઝોનમાં પોલીસ સ્ટેશનો પણ દરખાસ્ત મુજબ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેનો સત્તાવાર રીતે આગામી દિવસોમાં ઓર્ડર થતાં જ કાર્યરત થઈ જશે. નવા ઝોન-8માં કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશઅમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નવા ઝોન 8 માટે જે મુજબ દરખાસ્ત મોકલવામાં આવી છે તેમાં પૂર્વ વિસ્તારના ઝોન 5 અને ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન 5 પોલીસ સ્ટેશનમાંથી રામોલ નિકોલ અને ઓઢવ તેમજ ઝોન 6 પોલીસ સ્ટેશનમાંથી વટવા અને વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો ઝોન 8માં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા બનનારા વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો પણ તેમા સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આમ કુલ 6 પોલીસ સ્ટેશન નવા ઝોનમાં રહેશે. ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો ઝોન-5માં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે નવા બનનારા હંસપુરા પોલીસ સ્ટેશનનો ઝોન 4માં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન 8માં રીંગરોડ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી વધારેનવા બનાવવામાં આવેલા ઝોન 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીંગરોડ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી વધારે આવે છે. નિકોલથી લઈને વટવા જીઆઇડીસી સુધીનો સમગ્ર વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો છે. ઓઢવ, નિકોલ, વટવા આ ત્રણ વિસ્તારમાં GIDC આવેલી છે. વધુ મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે એક જ ડીસીપીના હેઠળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવવાના કારણે ત્યાંની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે તે મુજબ નિર્ણય લેવાયો છે. નિકોલથી લઈને વટવા નજીક અસલાલી સુધી રીંગરોડનો સમાવેશ થાય છે જે સમગ્ર પૂર્વ વિસ્તારનો પટ્ટો ઝોન-8માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે રીંગ રોડ પર થતી ઘટનાઓને પણ અટકાવી શકાશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:57 am

વેરાવળ પીપલ્સ બેન્કના ઠરાવને રાજ્ય રજિસ્ટ્રારે આપ્યો ઝટકો:ચૂંટાયેલા ડિરેક્ટર ચિરાગ કારીયાને દૂર કરવાનો બોર્ડનો નિર્ણય રદ્દ; બેન્કના સંચાલન અને સત્તાના ઉપયોગ સામે ઊભા થયા સવાલો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત વિવાદિત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક ફરી એક વખત વિવાદોના વંટોળમાં આવી છે. બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર ચિરાગ કારીયાને પદ પરથી દૂર કરવાનો નિર્ણય રાજ્ય સહકારી મંડળીના રજિસ્ટ્રાર, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર ગણાવી રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ બેન્કની કાર્યપદ્ધતિ અને સંચાલન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. માહિતી મુજબ ઓગસ્ટ 2023માં ચિરાગ કારીયા વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેન્કમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 30 જૂન 2025ના રોજ બેન્કના બોર્ડ દ્વારા તેમની ગેરહાજરીમાં જ એક ઠરાવ પસાર કરી તેમને ડિરેક્ટર પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. આશ્ચર્યજનક રીતે આ નિર્ણય પહેલાં તેમને કોઈ નોટિસ કે જાણ કરવામાં આવી નહોતી. કારીયાનો આક્ષેપ છે કે બેન્કના અમુક સ્થાપિત હિતો દ્વારા ષડયંત્ર રચી તેમને ગેરકાયદેસર રીતે પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે ચિરાગ કારીયાએ રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ લેખિત રજુઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બેન્કના જવાબો લેવામાં આવ્યા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી હતી. તપાસ બાદ રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું કે સહકારી કાયદા મુજબ ચૂંટાયેલા ડિરેક્ટરને દૂર કરવાની સત્તા માત્ર રજિસ્ટ્રારને જ હોય છે, જ્યારે બેન્કની વ્યવસ્થાપક સમિતિ અથવા સાધારણ સભાને આવી સત્તા પ્રાપ્ત નથી. આથી બેન્કની વ્યવસ્થાપક સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય સત્તા બહારનો હોવાનું જણાઈ આવતાં તે ઠરાવ અને તેની અનુસંગી તમામ કાર્યવાહી રદ્દ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ મામલે બેન્કના ચેરમેન પ્રકાશ તન્ના દ્વારા જણાવ્યું હતું કે, આ મામલે આવતીકાલે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર ની બેઠક મળશે અને આ મુદ્દે કાયદાકીય રીતે શુ થઈ શકે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વેરાવળ પીપલ્સ બેન્ક અગાઉ પણ પેનલ્ટી ઇન્ટરેસ્ટ, ધીરાણોમાં ગેરરીતિ અને અનિયમિતતા જેવા મુદ્દાઓને કારણે ચર્ચામાં રહી ચૂકી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ કેટલીક બાબતોમાં તાકીદ કરવામાં આવી હોવાનું કહેવાય છે. હવે રાજ્ય રજિસ્ટ્રારના આ નિર્ણય બાદ બેન્કના સંચાલન અને પારદર્શિતાને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને ગીર સોમનાથ જિલ્લામાં આ મુદ્દો ગરમ ચર્ચાનો વિષય બની ગયો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:54 am

દિલ્હીથી પરત ફર્યા બાદ CMની એરપોર્ટ પર લોકો સાથે વાતચીત:એક વ્યકિતએ કાગળમાંથી બનાવેલ કૃતિઓ રજૂ કરી ને હર્ષ સંઘવીએ પ્રશંસા કરી

દિલ્હી પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એરપોર્ટ પર સહજ અને સરળ અંદાજ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઉચ્ચ પદાધિકારીઓની મુલાકાત દરમિયાન કડક પ્રોટોકોલ જોવા મળે છે, પરંતુ આ વખતે બંને નેતાઓએ કોઈ ખાસ પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકોની વચ્ચે બેસીને વાતચીત કરી હતી. સંઘવી અને સીએમએ લોકો સાથે વાતચીત કરીએરપોર્ટ પર હાજર રહેલા લોકો સાથે તેમણે આત્મીયતાથી સંવાદ સાધ્યો અને તેમની સમસ્યાઓ તેમજ વિચારો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતાં. લોકો સાથેનો આ સીધો સંપર્ક જોઈને આસપાસના મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નેતાઓએ સહજતાથી લોકો સાથે સમય વિતાવી તેમની સાથે ફોટોગ્રાફ પણ પડાવ્યા. કાગળમાંથી બનાવેલ કૃતિઓ રજૂ કરી ને પ્રશંસા કરીઆ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકો કાગળમાંથી બનાવેલ કૃતિઓ રજૂ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ કૃતિઓમાં વિશેષ રસ દાખવી તેની બનાવટ, કલાત્મકતા અને પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવી હતી. કલાકારોને પ્રોત્સાહન આપતા તેઓએ તેમની મહેનતની પ્રશંસા કરી. નાગરિકો વચ્ચે બેસીને મૈત્રીપૂર્ણ વાતચીતસામાન્ય નાગરિકો વચ્ચે બેસીને તેમની સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરતો આ દ્રશ્ય એરપોર્ટ પર હાજર લોકોએ વખાણ્યો હતો. બંને નેતાઓનો આ સહજ, સરળ અને લોકમેળિયો વ્યવહાર ત્યાં ઉપસ્થિત લોકો માટે યાદગાર બની ગયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:46 am

પોરબંદર પોલીસે 3 ગુમ મોબાઈલ પરત કર્યા:કીર્તિમંદિર વિસ્તારમાંથી શોધી કાઢી માલિકોને સોંપવામાં આવ્યા

પોરબંદર પોલીસે કીર્તિમંદિર વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ અંદાજિત કિંમત ₹24,500/- હતી. ગુમ થયેલા મોબાઈલ અંગે બીપીન દામોદરભાઈ રાજાણી, કરશન લાધાભાઈ મોરી અને ફેજલ ખબ્દુલકાદીર સોરઠીયાએ પોલીસમાં અરજી નોંધાવી હતી. આ અરજીઓના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએથી ત્રણેય મોબાઈલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કરી શોધી કાઢ્યા હતા. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, પોલીસે ત્રણેય મોબાઈલ ફોન તેમના માલિકોને પરત સોંપ્યા હતા. મોબાઈલ પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમનો મોબાઈલ ગુમ થાય અથવા ચોરી થાય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. આનાથી સમયસર તપાસ કરી ગુમ થયેલી માલમત્તા પરત મેળવવામાં મદદ મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:38 am

વલસાડમાં ગરમીનો પારો 39°C પહોંચવાની શક્યતા:દિવસભર કડક તડકો રહેશે, UV ઇન્ડેક્સ ઊંચો

વલસાડ જિલ્લામાં ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે. આજે, 11 માર્ચ 2026ના રોજ, વલસાડમાં મુખ્યત્વે સૂર્યપ્રકાશિત હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને કડક તડકો અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, હાલનું તાપમાન આશરે 35C નોંધાયું છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39C સુધી પહોંચવાની સંભાવના છે. લઘુતમ તાપમાન 23C આસપાસ રહેવાની શક્યતા છે. જિલ્લામાં ભેજનું પ્રમાણ 18 થી 21 ટકા વચ્ચે રહી શકે છે. હાલમાં પવનની ગતિ લગભગ 3 માઇલ પ્રતિ કલાક ઈશાન દિશામાંથી ફૂંકાઈ રહી છે. દિવસ દરમિયાન તે વધીને 12 માઇલ પ્રતિ કલાક વાયવ્ય દિશામાંથી ફૂંકાઈ શકે છે, જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ વધુ તીવ્ર બનશે. આજે UV ઇન્ડેક્સ 8 (ખૂબ ઊંચો) નોંધાવાની શક્યતા છે, જે તડકામાં લાંબા સમય સુધી રહેવા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ બપોરના સમયે બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવા તેમજ પૂરતું પાણી પીવાની સલાહ આપી છે. હવામાન વિભાગ મુજબ, આજે જિલ્લામાં વરસાદની કોઈ સંભાવના નથી, એટલે દિવસભર તડકો જ રહેશે. ઉનાળાની શરૂઆત સાથે આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:32 am

ચોરી કેસમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ધોળકાથી ઝડપાયો:ભેસ્તાન કન્સ્ટ્રક્શન સાઈટના 6 લાખના સામાન ભરેલું ટ્રેક્ટર ચોરી ભાગ્યો'તો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બિલ્ડરના વિશ્વાસનો ભંગ કરી, કિંમતી સામાન ભરેલું આખું ટ્રેક્ટર લઈને ફરાર થઈ જનાર રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે. માર્ચ 2025માં બનેલી આ ઘટનામાં લાખો રૂપિયાની ચોરી કરી આરોપી અમદાવાદના ધોળકા પાસે છુપાયો હતો. પોલીસને થાપ આપવા તે મજૂરી કામ કરતો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. ભેસ્તાનમાંથી ટ્રેક્ટર સાથે લાખોનો સામાન લઈ રાતોરાત ફરારઆ ઘટનાની વિગત એવી છે કે, ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઉમ્મીદનગર ખાતે અંકિત લક્ષ્મણભાઈ મિયાણીની કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી હતી. અહીં મજૂરી કામ કરતા બે સગા ભાઈઓ તારીકુલ અને અનિકુલ રેહાન પર માલિકને ભરોસો હતો. જોકે, 24/03/2025 ના રોજ આ બંને ભાઈઓએ કાવતરું રચી સાઈટ પર પડેલું ટ્રેક્ટર, જેમાં કન્સ્ટ્રક્શનનો કિંમતી સામાન ફિટ કરેલો હતો, તે લઈને રાતોરાત સુરત છોડી ભાગી ગયા હતા. આ ટ્રેક્ટર અને સામાનની કુલ કિંમત 6,12,033 જેટલી થવા જાય છે. એક વર્ષથી નાસતો ફરતો આરોપી ધોળકાથી ઝડપાયોસુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેક્ટર ચોરીનો મુખ્ય આરોપી તારીકુલ હેનારા અમદાવાદના ધોળકા વિસ્તારમાં છુપાયો છે. બાતમીદારના જણાવ્યા મુજબ, આરોપી ધોળકાના અંબિકા સર્કલ પાસે એક નવી બની રહેલી બિલ્ડિંગની સાઈટ પર મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક ધોળકા પહોંચી વોચ ગોઠવી હતી અને આરોપી તારીકુલ (ઉંમર 31) ને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. એક ભાઈ જેલમાં, બીજો એક વર્ષથી પોલીસને હંફાવતો હતોભેસ્તાન પોલીસ મથકે BNS 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં આરોપીનો સગો ભાઈ અનિકુલ રેહાન અગાઉ પકડાઈ ગયો હતો. જોકે, મુખ્ય સૂત્રધાર ગણાતો તારીકુલ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાનો વતની છે, જેથી પોલીસને આશંકા હતી કે તે વતન ભાગી ગયો હશે. પરંતુ તે ગુજરાતમાં જ અલગ-અલગ સાઈટ પર નામ બદલીને કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. ખાસ ડ્રાઈવ ને વોન્ટેડ આરોપીઓ પર ટીમ ત્રાટકીસુરત શહેરમાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કર્યું હતું. જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના આ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વિશ્વાસ કેળવી બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતોઝડપાયેલ આરોપી તારીકુલ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ખાસમહલ ગામનો વતની છે. તે સુરત જેવા મોટા શહેરોમાં મજૂરી અર્થે આવીને વિશ્વાસ કેળવી બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ તેણે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારે ટ્રેક્ટર કે મશીનરીની ચોરી કરી છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:32 am

ગરમીના વધતા પ્રકોપ વચ્ચે સ્કૂલોનો સમય સવારે કરવા માંગ:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની શિક્ષણમંત્રીને રજૂઆત

ગુજરાતમાં વધતી ગરમી અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા યેલો એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળાઓનો સમય વહેલો કરવા માટે માંગ ઉઠી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાતે શિક્ષણમંત્રી ડૉ. પ્રધુમન વાજાને પત્ર લખીને રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારે રાખવા વિનંતી કરી છે. 'વિદ્યાર્થીઓને ભારે ગરમી સહન કરીને શાળાએ જવું પડે છે'મહાસંઘના પત્રમાં જણાવાયું છે કે, આ વર્ષે ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સવારે 11 વાગ્યા પછી તાપમાનમાં ઝડપથી વધારો થાય છે અને હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભારે ગરમી સહન કરીને શાળાએ જવું પડે છે, જેના કારણે તેમના આરોગ્ય અને અભ્યાસ બંને પર અસર પડી શકે છે. આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના સંઘે વધુમાં જણાવ્યું છે કે, ગરમીના કારણે વિદ્યાર્થીઓમાં થાક, બિમારી અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. અગાઉ પણ વધુ ગરમીના સમયગાળા દરમિયાન શાળાઓનો સમય વહેલો કરવામાં આવતો રહ્યો છે. સ્કૂલોનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારે કરવા માંગઆ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાસંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખી રાજ્યની ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારે રાખવાનો નિર્ણય લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:23 am

હાજીપુરમાં PSI તાલીમાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો:વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટરે સફળ ઉમેદવારોને બહુમાન કરી માર્ગદર્શન આપ્યું

પાટણ તાલુકાના હાજીપુર ગામે આવેલા વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટર દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓ માટે સન્માન અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સફળ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સેમિનારમાં પાટણ APMC ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, દ્વારકેશ કન્યા છાત્રાલયના સંચાલક મગનભાઈ દેસાઈ, હાજીપુરના સરપંચ વિષ્ણુભાઈ દેસાઈ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અલ્કેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ક્રિષ્ના ગ્રુપ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય કિરણજી ઠાકોર, તલાટી વિપુલભાઈ સોલંકી, રૂક્ષ્મણી વિદ્યાલયના આચાર્ય શાંતિભાઈ પટેલ અને હાજીપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સોમાભાઈ દેસાઈએ પણ ઉપસ્થિત રહી નવયુક્ત PSI તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, PSI તરીકે પસંદ થયેલા ઉમેદવારોએ સેન્ટરના સંચાલકોનું સન્માન કર્યું હતું. આ સેમિનારમાં તાલીમાર્થીઓના વાલીઓ, ગ્રામજનો તેમજ પોલીસ અને PSI ની પરીક્ષાની તૈયારી કરી રહેલા અનેક યુવક-યુવતીઓ જોડાયા હતા. સફળ ઉમેદવારોએ પોતાના તૈયારીના અનુભવો રજૂ કર્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું ટૂંકા સમયગાળામાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાજીપુર પ્રાથમિક શાળાના શિક્ષક જાલમસિંહ ઝાલાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:11 am

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કેબિન ચીરી ડ્રાઈવરનું રેસ્ક્યૂ:ભરૂચના દહેગામ નજીક સવારે ટ્રેલર અને ટેન્કરની ટક્કર, ફસાયેલા ટેન્કરચાલકને મહામહેનતે બહાર કઢાયો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચના દહેગામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર અને ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સામસામે ટ્રેલર અને ટેન્કર ટકરાયાપ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ નજીક હાઇવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે ટેન્કરના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને ચાલક સ્ટીયરિંગ તથા કેબિનના પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરી માટેની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશનકેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમે કટર મશીનનો ઉપયોગ કર્યો હતો. અંદાજે કલાકોની જહેમત બાદ કેબિનના પતરાં કાપીને ઈજાગ્રસ્તને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક અને પોલીસ તપાસઆ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 10:06 am

નિવૃત અધિકારીને 10 દિવસ ડિજિટલ અરેસ્ટ કરનારના જામીન નામંજૂર:પાટણના હરેશ પટેલ પાસે ₹67 લાખ પડાવનાર UPના સાયબર ગઠિયાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

પાટણના એક નિવૃત્ત આરોગ્ય અધિકારીને ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 10 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખી 67 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં પકડાયેલા ઉત્તર પ્રદેશના આરોપી રિતેશ લાલચંદરામની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ સાયબર ફ્રોડની 7 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. સમગ્ર મામલો શું હતો?પાટણમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત આરોગ્ય અધિકારી હરેશ પટેલને ગત 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 દરમિયાન સાયબર ઠગોની ટોળકીએ નિશાન બનાવ્યા હતા. ઠગોએ તેમને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું કહી, ઓનલાઈન વીડિયો કોલ દ્વારા 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા. આ માનસિક દબાણ હેઠળ ઠગોએ નિવૃત્ત અધિકારી પાસેથી કુલ 67,00,000 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે તેમણે 12 જાન્યુઆરી 2026ના રોજ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટની મહત્વની ટિપ્પણીઓઆ કેસની સુનાવણી દરમિયાન સેશન્સ જજ પ્રશાંત એચ. શેઠે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. સરકારી વકીલ જે.જે. બારોટે જામીનનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે: આરોપીએ 'નવજીવન નિર્માણ ટ્રસ્ટ'ના નામે બેંક ખાતું ખોલાવી તેમાં છેતરપિંડીની રકમ મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ 2,75,20,000 રૂપિયા જમા થયા છે. આરોપી વિરુદ્ધ હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારના ગુના નોંધાયેલા છે અને તેના ખાતા વિરુદ્ધ ઓનલાઈન ફ્રોડની કુલ 7 અરજીઓ તપાસ હેઠળ છે. જામીન ન મળવાનું મુખ્ય કારણકોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામેના પુરાવાઓ પ્રાથમિક દ્રષ્ટિએ મજબૂત છે અને આ કેસના અન્ય મુખ્ય સૂત્રધારોને પકડવાના હજુ બાકી છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તપાસમાં અવરોધ ઊભો થઈ શકે તેમ હોવાથી કોર્ટે રિતેશ લાલચંદરામની જામીન અરજી નામંજૂર કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:52 am

હળવદમાં માટીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:સુખપર પાસે હોટલ પાર્કિંગમાંથી 4,223 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો, એકની ધરપકડ

અમદાવાદ-હળવદ હાઈવે પર સુખપર ગામના પાટિયા પાસે આવેલી રામદેવ હોટલના પાર્કિંગમાંથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સફેદ માટીની આડમાં છુપાવીને લઈ જવાતી દારૂની 4,223 બોટલો સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી કુલ 15,14,165નો મુદ્દામાલ કબજે કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતાહળવદ પોલીસની ટીમ જ્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે રામદેવ હોટલના પાર્કિંગમાં ઉભેલા ટ્રક (નંબર: RJ 52 GA 9204) માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. માટીની આડમાં દારૂનું વેચાણપોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રકમાં ઉપરના ભાગે સફેદ માટી ભરેલી હતી, પરંતુ તેની નીચે કાળજીપૂર્વક દારૂના બોક્સ ગોઠવવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 4,223 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. મુદ્દામાલ જપ્ત કરાયોપોલીસે દારૂના જથ્થા સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે કરી છે, દારૂની કિંમત: 4,64,600 કુલ મુદ્દામાલ (ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત): 15,14,165 રાજસ્થાનના શખ્સની ધરપકડઆ મામલે પોલીસે ટ્રક ચાલક જાનમહમદ અબ્દુલરસીદ મેવ (રહે. નીમલી, તા. તિજારા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:38 am

વાહનો થંભાવીને સિંહને સુરક્ષિત રોડ ક્રોસ કરાવાયો:રાજુલા-પીપાવાવ પોર્ટ હાઈવે પર વનવિભાગ એક્શન મોડમાં, અગાઉ વાહન અડફેટે સાવજોના મોતના બનાવો વચ્ચે ફોરેસ્ટની સજાગતા

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સિંહોની અવરજવર વધતા વનવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તાજેતરમાં રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે પર વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી એક સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો. ભૂતકાળમાં વાહનોની અડફેટે સિંહોના મોતના બનાવો બન્યા બાદ હવે તંત્ર દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. વનકર્મીઓની સતર્કતાથી ટળી દુર્ઘટનાપીપાવાવ પોર્ટ હાઈવે પર જ્યારે સિંહ રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે વનરક્ષક રાજુ રાજગોરે ત્વરિત નિર્ણય લઈ હાઈવેની બંને તરફની ટ્રાફિક રોકી દીધી હતી. વાહનો ઉભા રહી જતાં સિંહ કોઈપણ ડર વગર શાંતિથી રસ્તો ઓળંગી ગયો હતો. આ સમગ્ર કામગીરી શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજુલા રેન્જ RFO યોગેશ કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હાઈવે પર સતત મોનિટરિંગભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અને પીપાવાવ પોર્ટ રોડ પર સિંહોની અવરજવર વારંવાર જોવા મળે છે. સિંહોની સુરક્ષાને ધ્યાને રાખીને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હવે રેવન્યુ વિસ્તારની સાથે હાઈવે પર પણ 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જાફરાબાદમાં પણ સિંહોનું ગ્રુપ દેખાયુંનોંધનીય છે કે, માત્ર 2 દિવસ પહેલા જ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક 9થી વધુ સિંહોના ટોળાએ રોડ ક્રોસ કર્યો હતો. તે સમયે પણ વનવિભાગની ટીમે હાજર રહીને તમામ સિંહોને સુરક્ષિત રીતે પસાર કરાવ્યા હતા. વનવિભાગની આ સક્રિયતાને કારણે વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:28 am

બોટાદમાં રીક્ષા એસોસિએશને શરૂ કર્યું પીવાના પાણીનું પરબ:ઉનાળામાં રાહદારીઓ અને મુસાફરોને મળશે ઠંડુ પાણી

બોટાદ જિલ્લામાં હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી વચ્ચે, બોટાદ રીક્ષા એસોસિએશને પીવાના પાણીનું પરબ શરૂ કર્યું છે. આ પરબ શહેરના મુખ્ય પિકઅપ સ્ટેન્ડ, હાઈસ્કૂલ ચાર રસ્તા પર મુસાફરો અને રાહદારીઓ માટે ઉપલબ્ધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે, ત્યારે આ પહેલ લોકોને રાહત આપશે. હાઈસ્કૂલ ચાર રસ્તા બોટાદનું એક મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. અહીંથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં જતા તેમજ સાળંગપુર દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ વાહન કનેક્શન મેળવે છે. ઉનાળાની આકરી ગરમીમાં મુસાફરી કરતા લોકોની સતત અવરજવરને કારણે, તેમને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પીવાના પાણીનું પરબ દાતાઓના સહયોગથી ચલાવવામાં આવે છે, જેમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે. રીક્ષા એસોસિએશન દ્વારા દર વર્ષે ઉનાળા દરમિયાન આ સેવાકાર્ય હાથ ધરવામાં આવે છે. દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાનથી આ પાણીના પરબની વ્યવસ્થા જાળવવામાં આવે છે. રીક્ષા એસોસિએશનના પ્રમુખે આ સેવાકાર્ય માટે અનુદાન આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:16 am

સયાજીબાગ ઝૂના વન્યજીવો માટે 'સ્પેશિયલ ટ્રીટ':અબોલ પશુઓ માટે ગરમી સામે રક્ષણ માટે પિંજરામાં ગ્રીન નેટ અને પાણીનો છંટકાવ કરાયો, ઘાસના છાપરા અને ઠંડો ખોરાક શરૂ

માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો વધ્યો છે. હાલથી જ ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે. ગરમીનો પારો વધતાં મનુષ્ય, મૂંગા પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે. મનુષ્ય તો ગરમીથી બચવા અથવા તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું? તેઓ મનુષ્ય પર નિર્ભર છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જે શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે છે. તેઓ માટે ઝૂ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરાયા છેલ્લા બે દિવસથી ગરમી વધી છે અને હિટવેવની અનુભૂતિ થઇ રહી છે. સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સવારે તથા બપોરે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ પશુ-પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યાં છે. સમયાંતરે પ્રાણીઓનું ચેકઅપ કરાશે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ પંખીઓનું સમયાંતરે ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ હાલમાં ગરમીની મોસમમાં પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે. પ્રાણીઓને આસપાસ ઠંડુ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:12 am

કાળઝાળ ગરમીને હંફાવતું સુરેન્દ્નરગરનું હરિયાળું ગામ:વસ્તી કરતા ત્રણ ગણા વૃક્ષો, રણથી સાવ નજીક હોવા છતા તાપમાનમાં ત્રણ-ચાર ડિગ્રીનો ઘટાડો

રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. કાળઝાળ ગરમીમાં જ આપણને વૃક્ષોની કિંમત સમજાય છે. ત્યારે સુરેન્દ્રનગરનું એક એવું ગામ છે કે જ્યાં ગામની વસ્તી કરતા ત્રણ ગણા વધુ વૃક્ષો છે અને ગ્રામજનો હજી પણ વધુમાં વધુ વૃક્ષો વાવી રહ્યા છે. કચ્છના નાના રણથી 5 કિમી દૂર આવેલા પાટડીના માલણપુર ગામમાં 1400 લોકોની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા પ્રતિ વ્યક્તિ 7 એટલે કે 9500થી વધુની છે. દર ઉનાળે આ ગામનું તાપમાન આજુબાજુના વિસ્તારથી બે-ત્રણ ડિગ્રી ઓછું જોવા મળે છે. 10 વર્ષ પહેલાં શરૂઆત થઇને આખુ ગામ હરિયાળુ બન્યુંરાજ્યમાં પ્રતિહેક્ટરે વૃક્ષોની સંખ્યા 14.25 છે. તેની સામે ઝાલાવાડમાં માત્ર 4.15 વૃક્ષ છે. તેવામાં માલણપુર ગામે રણપ્રદેશમાં લીલોતરીની એક નાની ઉમ્મીદ જગાવી છે. લીલોતરીની ઉમ્મીદની શરૂઆત 10 વર્ષ અગાઉ થઇ હતી. ગામ તળાવ ફરતે ગંદકી અને દબાણને દૂર કરવા ગામના 20 જેટલા યુવાનોએ રોપા વાવવાની શરૂઆત કરી હતી. તે વખતે ફોરેસ્ટર ઝીણાજી લેંચીયાએ સરકારમાંથી કાંટા અને પીંજરાનો લાભ અપાવ્યો હતો અને માજી સરપંચ પરષોત્તમ જાદવે પંચાયતના બોરમાંથી નળ આપી ત્રણ વર્ષ સુધી જીવના જેમ રોપાનો ઉછેર કર્યો હતો. વિવિધ પ્રકારના ગગનચુંબી વૃક્ષોથી તાપમાનમાં ઘટાડોમાલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે, મંદિરના ફરતે કે રસ્તાની બન્ને બાજુ લિલાછમ્મ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે છે. ગામની ચારેતરફ લીંબડા, પેલ્ટાફોમ, નિલગીરી, ગુલમહોર, ઉમરા, વડ, સરૂ અને કળજી મળી 6400 વૃક્ષો, બુટભવાની માતાનાં મંદિર પરિસરમાં 1100 વૃક્ષો, મુખ્ય રસ્તાની બન્ને તરફ 1000 વૃક્ષ અને 2 લાખના ખર્ચે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. જેને લઇને ગામના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. હવે ગામમાં બાકી રહેલી જગ્યામાં પણ 300થી 400 રોપા વાવવાનો નિર્ણય લેવાયો છે. ભરઉનાળે પણ ગામનું તળાવ છલોછલ રહે છે: સરપંચદિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ગામના સરપંચ દિલીપ બુટીયાએ જણાવ્યું કે, ગામમાં જયારે વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે ગામમાં ચારેબાજુ જંગલી બાવળો જ હતા, બાદમાં ગ્રામજનોએ આ જંગલી બાવળો દૂર કરવાનું નક્કી કર્યું. જંગલ ખાતાએ અમને સાથ આપ્યો અને એમની સાથે ગામના યુવાનોએ રાત દિવસ હાજરી આપી ગામની કાયા પલટ કરી. વૃક્ષો માટે પાણીની પાઈપલાઈન નાખેલી છે. ઉનાળામાં ગામના તળાવમાં પાણી ન ખૂટતું હોવાથી બહારગામના લોકો ઢોરને પાણી પીવડાવવા અહીં આવે છે. અમારા ગામને અલગ અલગ ત્રણ યોજનામાં એવોર્ડ પણ મળેલા છે. અમે હમણાં જ એક હજારથી વધુ વૃક્ષો વાવ્યા: ઉપસરપંચદિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ગામના ઉપસરપંચ મનીષાબેન જાદવ જણાવે છે કે, ગામમાં 8500 વૃક્ષો હતા પણ અમે તાજેતરમાં બીજા 1,000થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. અમારા ગામનું તાપમાન આકરા ઉનાળામાં અન્ય ગામો કરતા ઓછું રહે છે, આથી આજુબાજુના ગામના લોકો મુલાકાત લેવા આવે છે. CCTV સહિતની અન્ય સુવિધાઓથી પણ ગામ સજ્જગામમાં વૃક્ષો ઉપરાંત પણ અન્ય પાયાની સુવિધાઓ સજ્જ છે. ગામની મહિલાઓ સહિત તમામ ગ્રામજનો દ્વારા દર રવિવારે ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઇ પણ કરવામાં આવે છે. માલણપુરનાં ગ્રામજનો દ્વારા લોકફાળો કરી સમગ્ર ગામને અંદાજે 2 લાખના ખર્ચે 28 સીસીટીવી કેમેરા વડે આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયુ છે અને આગામી દિવસોમાં આખા ગામને વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની પણ તૈયારીઓ થઇ રહી છે. 100 % શૌચાલયની સુવિધાથી સજ્જ એવા માલણપુરમાં આઝાદી બાદથી માત્ર એક જ વખત ચૂંટણી યોજાઇ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:00 am

દામનગરમાં જાહેરમાં વરલી મટકા જુગાર રમાયો, વીડિયો વાઈરલ:પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર રાભડા ચોકડીની ઘટના, PIએ કહ્યું- તપાસ કરાવી લઉં છું, હદ વિસ્તાર જોવો પડશે

અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની રાભડા ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે દામનગર PI સી.એન. દવેએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ બાબત હાલ મારા ધ્યાન પર નથી, છતાં હું તપાસ કરાવી લઉં છું. કયા હદ વિસ્તારમાં આ પ્રવૃત્તિ ચાલે છે તે જોવું પડશે. પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જુગારધામચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ જુગાર રમાઈ રહ્યો હતો તે રાભડા ચોકડી પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલી છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વીડિયો ઉતારીને વાઈરલ કર્યો હતો. અગાઉ આ જ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક પોલીસની નાક નીચે ફરીથી જુગારધામ શરૂ થઈ જતાં તંત્રની કામગીરી શંકાના દાયરામાં છે. જુગારની પદ્ધતિ અને વ્યાપવરલી મટકાના આ ખેલમાં 1 થી 10 આંકડાઓ પર ઓનલાઈન બજાર ખુલે છે. સવારથી જ બજારના નંબરો લેવાનું શરૂ કરી ડાયરીઓમાં તેની નોંધણી કરવામાં આવે છે અને મોટા પાયે રોકડની હેરફેર થાય છે. દામનગરના વિવિધ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ હાલ વ્યાપક બની હોવાની ચર્ચાઓ છે. ગુનાખોરીમાં વધારો, 48 કલાકમાં બીજી ઘટનાદામનગરમાં છેલ્લા 48 કલાકમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી આ બીજી ઘટના છે. અગાઉ, ધારાસભ્યની હાજરીમાં યોજાયેલા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી પર હુમલો થયો હતો. આ હુમલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જાહેરમાં જુગારના વીડિયોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી દીધી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન?અમરેલી SP દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં, દામનગરમાં કેટલાક પોલીસકર્મીઓની રહેમનજર હેઠળ જ જુગારના તત્વો સક્રિય થયા હોવાનો ગણગણાટ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 8:49 am

DIGP આર.વી. અસારીની ભાવનગર બદલી:ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં ગરિમાપૂર્ણ વિદાય સમારોહ યોજાયો

ગોધરા રેન્જ DIGP આર.વી. અસારીની ભાવનગર ખાતે બદલી થતાં ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રેન્જના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ DIGP અસારીના કાર્યકાળ દરમિયાન તેમના માર્ગદર્શન અને કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. વિદાય સમારોહ સ્થળે ફૂલોની વર્ષા કરીને તેમનું અભિવાદન કરાયું હતું. પોલીસ વિભાગની પરંપરા મુજબ, DIGP આર.વી. અસારીની ગાડીને પોલીસ ગ્રુપ દ્વારા દોરડા વડે ખેંચીને તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર.વી. અસારીને તેમના નવા ગંતવ્ય સ્થાન ભાવનગર માટે તમામ અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 8:46 am

ગરમીની શરૂઆતના પહેલા 10 દિવસમાં જ પારો 40ને પાર:છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો, 16 માર્ચ સુધી હીટવેવની આગાહી સાથે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ; અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા મોરબી, રાજકોટ અને કચ્છ સહિત 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે અમદાવાદમાં પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન નિષ્ણાતોના મતે આગામી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં સિવિયર હીટવેવને લઈ ઓરેન્જ એલર્ટહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર 16 માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આજે એટલે કે, 11 માર્ચ માટે કેટલાક જિલ્લાઓમાં સિવિયર હીટવેવને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જુનાગઢ જામનગર વડોદરા અને સુરતમાં હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેજ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને દીવ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 12 માર્ચે આ 8 જિલ્લામાં હીટવેવની આગાહીહવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં લગભગ 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે એટલે કે 12 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 3થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાહવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 10%થી 20% નીચે ગયું છે, જે સામાન્ય રીતે 50%થી 60% રહેતું હોય છે. જેથી ચામડી બાળી નાખતી ગરમીનો અનુભવ થાય છે. આ સંજોગો જોતાં આગામી 3થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરી સંભાવના છે. અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ છેલ્લા ચાર વર્ષના ડેટા પર નજર કરીએ તો, વર્ષ 2026માં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ 10 દિવસમાં જ તાપમાનમાં આશ્ચર્યજનક ઉછાળોઅમદાવાદમાં આ વર્ષે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચ મહિનાના પ્રથમ 10 દિવસમાં જ તાપમાનમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ 1ના રોજ જે તાપમાન 34.2C હતું, તે માર્ચ 8 સુધીમાં વધીને 39.4C પર પહોંચી ગયું છે. 2024 અને 2025ની સાપેક્ષમાં 2026માં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે નોંધાયું છે. જોકે માર્ચ 9 અને 10ના અંદાજ મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ અને 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાની પૂરેપૂરી શક્યતા છે. આ 4 કારણોસર ગરમીમાં વધારો થયો લૂ કે હીટવેવ શું છે?જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે?આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય?હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ?નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 8:43 am

પાળિયાદ પાંજરાપોળને રૂ. 51,000નું દાન મળ્યું:ગામી પરિવારે સ્વ. જડીબેનના મોક્ષાર્થે અર્પણ કર્યા

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને જીવદયાના કાર્ય માટે રૂ. 51,000નું દાન મળ્યું છે. આ દાન પાળિયાદના ગામી પરિવારે તેમના માતૃશ્રી સ્વ. જડીબેન તળશીભાઈ ગામીના મોક્ષાર્થે ઉત્તરક્રિયા નિમિત્તે અર્પણ કર્યું છે. આ રકમનો ઉપયોગ અબોલ પશુઓના ઘાસચારા માટે કરવામાં આવશે.સ્વ. જડીબેન તળશીભાઈ ગામીના પુત્રો ગોવિંદભાઈ, ગોરધનભાઈ, નાગરભાઈ, દિલીપભાઈ, માવજીભાઈ અને ધનજીભાઈ તળશીભાઈ ગામી દ્વારા આ જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. પરિવારે તેમની માતાની સ્મૃતિમાં પશુ કલ્યાણ માટે આ યોગદાન આપ્યું છે.શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સેવાભાવી ટીમે ગામી પરિવારના આ સુકૃત કાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટે સ્વ. જડીબેનને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 8:24 am

રજુઆત સાંભળ્યા વિના મને ગેટ આઉટ કહી કાઢી મૂકી:રાજકોટનાં આરોગ્ય કેન્દ્ર કામ કરતા હંગામી કર્મચારીનો ગંભીર આરોપ, આરોગ્ય અધિકારીએ કહ્યું- મારી સાથે અસભ્ય વર્તન કરી નોકરીની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું

રાજકોટના વિજયપ્લોટ ખાતેના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક હંગામી મહિલા કર્મચારી દ્વારા આરોગ્ય અધિકારી પર ગંભીર આરોપ લગાવાયો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમની રજૂઆત સાંભળ્યા વિના જ તેમને 'ગેટ આઉટ' કહીને ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ, આરોગ્ય અધિકારીએ આ આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને નોકરીની જરૂર ન હોવાનું કહેતા તેમને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિજયપ્લોટ આરોગ્ય કેન્દ્રમાં એપ્રેન્ટિસ તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ડાંગર મીરા ગોવિંદભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેઓ છેલ્લા 10 મહિનાથી અહીં પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે. તેમના નોડલ ANM સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તેની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. પોતે તમામ પ્રકારના કામ કરે છે, જેમાં કચરા-પોતા અને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે. છતાં તેમની સામે કામ નહીં કરતા હોવાની ખોટી રજૂઆત કરવામાં આવી હતી. અને બે મહિના બાકી છે એ પણ પુરા થવા નહીં દેવાની ધમકી આપવામાં આવતા પોતે પણ નોડલ કિરણબેનને ફિક્સ પગારમાં પાંચને બદલે 6 વર્ષ કરવા પડશે તેવું કહ્યું હતું. વધુમાં મીરાબેને જણાવ્યું કે, સમગ્ર મામલે તેમના નોડલ કિરણબેન દ્વારા ફરિયાદ કરવામાં આવતા તેમને MO સાહેબ (આરોગ્ય અધિકારી) દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જેને લઈને તેઓ ગઈકાલે પોતાની રજૂઆત કરવા ગયા હતા. પરંતુ સાહેબે તેમની વાત સાંભળવાના બદલે સીધું જ 'ગેટ આઉટ' કહીને તેમને ત્યાંથી વિદાય કરી દીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અહીં અન્ય મહિલા કર્મચારીઓનું પણ શોષણ કરવામાં આવે છે અને તેમને મીડિયા સમક્ષ જતા રોકવામાં આવે છે. મીરાબેને કહ્યું કે, તેમને રૂ. 7700 પગાર મળે છે, પરંતુ કામના બદલામાં માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ અંગે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શિસ્તભંગ અને અસભ્ય વર્તનને સાંખી લેવામાં આવશે નહીં. મહિલા કર્મચારીને જ્યારે તેમની કામગીરી બાબતે પૂછપરછ કરવા બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે ઉદ્ધત વર્તન કર્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, કર્મચારીએ પોતે જ નોકરી કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે નિયમોનુસાર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં આ મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને બંને પક્ષો પોતાની વાત પર મક્કમ છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 9 માર્ચ 2026ના રોજ બપોરે 1:20 કલાકે વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ સુપરવાઈઝર કિરણબેન ચૌહાણ દ્વારા એપ્રેન્ટિસ મીરાબેન ડાંગર વિરુદ્ધ એક લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. કિરણબેને ટેલિફોનિક રીતે જાણ કરી હતી કે મીરાબેન દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે. સુપરવાઈઝર કિરણબેનનો રોલ તમામ સ્ટાફ પાસેથી કામગીરી લેવાનો હોય છે. તેમણે જ્યારે મીરાબેન ડાંગરને ડ્રેસિંગ કરવાની કામગીરી સોંપી ત્યારે મીરાબેને ઉશ્કેરાઈ જઈને તેમને ‘જોઈ લેવાની’ ધમકી આપી હતી. આ ઉપરાંત, મીરાબેને કિરણબેનને તેમનો 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ 6 વર્ષનો કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ ઘટના બાદ પોતે કિરણબેન અને અન્ય સ્ટાફ સાથે ચર્ચા કરી સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કર્યું હતું. ત્યારબાદ મીરાબેન ડાંગરને મારી ચેમ્બરમાં બોલાવ્યા હતા. જ્યારે તેઓ પોતાની ચેમ્બરમાં 4 નાયબ આરોગ્ય અધિકારી અને ઓપરેટર સાથે સફાઈ કામદારોની નિવૃત્તિ બાબતની ફાઈલોની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે આ કર્મચારીએ ત્યાં આવીને ઉગ્ર વર્તન કર્યું હતું. જેને લઈને આરોગ્ય અધિકારી તરીકે મેં તેમને બહાર જવા માટે સમજાવ્યા છતાં તેઓએ બોલાચાલી ચાલુ રાખી હતી. આ કર્મચારી અધિકારી પર દબાણ લાવવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ અને વીડિયો ક્લિપ વાયરલ કરી રહ્યા છે, જે એક પ્રકારની પ્રેશર ટેકનિક છે. અગાઉ તેઓ કમિશ્નરને પણ રજૂઆત કરવા ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ક્લાર્કને મીરાબેન ડાંગર વિરુદ્ધ નોટિસ આપવાની અને કાયદેસરની શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ડો. વાંકાણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મીરાબેન દ્વારા આ અંગે રાજકીય ભલામણો પણ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રના એક હંગામી મહિલા કર્મચારીએ તેમના ઓફિસરની સાથે જ આરોગ્ય અધિકારી ઉપર પણ ગંભીર આરોપો લગાવતો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં પણ તેઓ પોતાની સાથે અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે. દિવ્યભાસ્કરની સાથે કરેલી વાતચીત દરમિયાન તેમણે વિજય પ્લોટનાં આરોગ્ય કેન્દ્રમાં અનેક મહિલાઓ સાથે અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું. અને પોતાની સાથે અન્ય મહિલા કર્મચારી આરતીબેન પરમારને પણ લાવ્યા હતા. જેમણે પણ મીરાબેનની વાતને સમર્થન આપ્યું હતું. જોકે સમગ્ર મામલે લેખિત ફરિયાદ મળતા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણી દ્વારા અન્ય સ્ટાફ મેમ્બર સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં મીરાબેન દોષિત હોવાનું સામે આવતા તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 8:24 am

ભવ્ય ફલોત્સવ યોજાયો:ભુજમાં હનુમંત ચરિત્ર કથામાં ફલોત્સવ નિમિત્તે 11 હજાર કિલો ફળ ભગવાનને અર્પણ

ભુજ શહેરમાં ટીન સિટી ખાતે ચાલી રહેલી હનુમંત ચરિત્ર યુવા કથા દરમિયાન ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે પાંચમા દિવસે વિશેષ રૂપે ફલોત્સવ (ફળોનો અન્નકૂટ ઉત્સવ)નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને અર્પણ કરવા માટે 11 હજાર કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ રંગબેરંગી ફળોથી સજાવેલા અન્નકૂટના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. ફળોના અન્નકૂટના દર્શન દરમિયાન ભક્તોએ ભક્તિભાવથી ભગવાનના દર્શન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ધાર્મિક મહોત્સવનું આયોજન રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા કરાયું છે, જેનું આયોજન તા. 12 માર્ચ સુધી ચાલુ રહેશે. કથામાં વ્યાસપીઠ પરથી હરિપ્રસાદદાસ સ્વામી (અથાણાવાળા, સારંગપુર) દ્વારા સંગીતમય શૈલીમાં રોજ રાત્રે 8:30થી 11:30 વાગ્યા સુધી હનુમંત ચરિત્રની કથાનું રસપાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમના યજમાન તરીકે રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર તથા કાનજી મુળજી રાબડીયા (રાજકુમાર) પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. કથા દરમિયાન રોજ ભક્તો માટે અલગ-અલગ ધાર્મિક પ્રસંગો યોજાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 7:09 am

વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:વાંકુ સીમમાં પવનચક્કી પરથી વાયર ચોરનાર બે પકડાયા

અબડાસા તાલુકાના વાંકુ ગામની સીમમાં આવેલ સુઝલોન કંપની અલગ અલગ પવનચક્કી પરથી વાયર ચોરી કરનાર વાંકુ અને ઝરપરાના આરોપીને સ્થાનિક પોલીસે રૂપિયા 1.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ઘરફોડ ચોરીના બે બનાવનો ભેદ ઉકેલી લીધો છે. જખૌ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ આર.જે.ગોહિલે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ટીમને સુચના આપી હતી.એ દરમિયાન પેટ્રોલિંગ કરતી ટીમને હ્યુમન સોર્સથી મળેલ બાતમીને આધારે વાંકુ ગામના આરોપી ભાવેશ નવીન પારાધી અને મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના પુનશી મેગરાજ ગઢવીને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 31,200 ની કિંમતનો 780 મીટર કોપર વાયર અને 1.50 લાખની કિંમતની સુપર કેરી નંબર જીજે 27 ટીએફ 0૩35 સહીતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓએ વાંકુ ગામની સીમમાં આવેલ પવનચક્કીઓ પરથી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો અને રૂપિયા 1.13 લાખની કિંમતનો કોપર કેબલ ચોરી કર્યો હતો.પોલીસે ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપનાર બન્ને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 7:07 am

ભયાનક આગ લાગી:ભચાઉ સીમ તલાટીની કચેરીમાં આગ લાગતાં જૂના રેકોર્ડ બળીને ખાખ, નવો રેકોર્ડ બચી ગયો

ભચાઉમાં સીમ તલાટીની કચેરીમાં ગતરાત્રિના સમયે આગનો બનાવ બન્યો હતો જેમાં જમીનને લગતા જરૂરી કાગળો બળીને ખાખ થયા હતા જ્યારે નવા રેકર્ડ બાજુની કચેરીમાં હોતા બચી ગયા હતા. મધરાતે લાગેલી આગ પર પાલિકાની ફાયર ફાઇટર ટીમે સાત કલાક સુધી પાણીનો મારો ચલાવી અગનજ્વાળાઓ કાબૂમાં લીધી હતી. આ બનાવામાં દસ્તાવેજી કાગળો બળી જતા ખેડુત ખાતેદારો અને અન્ય લોકોને મોટી મુશ્કેલી ઊભી થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આગના બનાવની જાણ લોકો દ્વારા સુધરાઇના અગ્નિશમન દળને કરાતાં ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરના પ્રવીણ દાફડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રે 1. 30 વગ્યા બાદ આગમાં સરકારી રેકર્ડ સળગી રહ્યો હતો. પ્રથમ તેને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ આગે મોટું રૂપ ધારણ કર્યું હતું. 12,000 લિટર જેટલા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ બાબતે સીમ તલાટી મહિપતસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગનો વર્ષો જુનો રેકોર્ડ સળગી ગયો હતો. નવો રેકોર્ડ બાજુની તલાટી કચેરીના અન્ય રૂમમાં રાખવામાં આવેલો હોવાથી બચી ગયો છે પરંતુ 50 વર્ષ સુધીનો જુનો રેકોર્ડ ખાખ થયો છે. લગ્નમાં ફોડાયેલા ફટાકડાનો તણખો ઉડીને કચેરીની બારીમાં અંદર પડતા આગનો બનાવ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બનાવના પગલે અનેક તર્ક વિતર્કઆગના બનાવને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભચાઉ અને નજીકના વિસ્તારોમાં જમીનોના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કોઈએ પોતાનો મનસુબો પાર પાડવા જાણી જોઈને આગ લગાડી હોય તો નવાઈ નહીં. એવી પણ ચર્ચા છે કે સરકારી કચેરીઓમાં આમ પણ ભ્રષ્ટાચાર ખૂબ માત્રામાં ફૂલ્યો ફાલ્યો છે ત્યારે સીમ તલાટી કચેરીમાં લાગેલી આગના બનાવની તપાસ યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 7:03 am

આજે ઓરેન્જ અને કાલ માટે યલો એલર્ટ:કચ્છમાં કાલ સુધી કાળઝાળ ગરમીનું મોજું, બાદમાં રાહત

કચ્છમાં ગુરૂવાર સુધી મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રીએ પહોંચવાની સંભાવનાએ હવામાન વિભાગે આજે બુધવારે ઓરેંજ અને કાલે યેલો એલર્ટ જારી કરવાની સાથે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ દિવસોમાં રાત્રે પણ ગરમીનું જોર રહી શકે છે. જો કે, શુક્રવારથી પારો બેથી ચાર ડિગ્રી નીચે ઉતરવાની સાથે ગરમીમાં આંશિક રાહત રહેશે તેવું પૂર્વાનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. જિલ્લા મથક ભુજમાં છેલ્લા ત્રણ દિવસથી ક્રમશ: ગરમીમાં વધારો થતાં મંગળવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતું અને ઉનાળાના આરંભે જ સર્વાધિક ગરમ દિવસ બન્યો હતો. દિવસનું ઉષ્ણતામાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ રહેવાની સાથે રાત્રે પણ સામાન્ય કરતાં 5.5 ડિગ્રી વધુ એટલે કે 23 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું હતું. નલિયામાં પણ પારો એક આંક ઉંચકાઇને 38.8 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે 17.4 ડિગ્રી જેટલા ન્યૂનતમ તાપમાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી પરિણામે બેવડી મોસમના મારથી નગરજનો અકળાયા હતા. કંડલા બંદરે અધિકતમ ઉષ્ણતામાન ઘટીને 39.5 ડિગ્રી થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. દરમિયાન કચ્છના કાંઠાળ વિસ્તારોમાં દિવસ અને રાત્રે પણ બફારો અનુભવાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાંઆવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:59 am

2.10 કરોડના ખર્ચે બનેલી શાળાનું કરાયું લોકાર્પણ:વિવાદ બાદ મિરજાપર કુમાર શાળાનું અંતે લોકાર્પણ

ભુજ તાલુકાના મિરજાપરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાની નવી ઇમારતનું મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં શિક્ષણ કે અન્ય વિકાસ કાર્યો માટે 2 લાખની ગ્રાન્ટ માટે પદાધિકારીઓને મહેનત કરવી પડતી જ્યારે વર્તમાનમાં આ બિલ્ડિંગ 2.10 કરોડના ખર્ચે બન્યું છે ગુજરાત સરકાર શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ છે તેવું ઉમેરી ગામના વિકાસમાં સહભાગી થવા શીખ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને પ્રા.શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, 11 રૂમો, સેનીટેશન, ફાયર સુવિધા ધરાવતા આ બિલ્ડિંગમાં શેડ તથા ગ્રાઉન્ડ ડેવલોપિંગની વિશેષ કાળજી રાખવામાં આવી છે. લોકાર્પણમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સામાજિક અગ્રણી શિવજીભાઈ, રામભાઇ ગઢવી વગેરે હાજર રહ્યા હતા. શાળા સાથે વિવાદનું જોડાણ, તંત્રએ આક્ષેપ નકાર્યામીરજાપર કુમાર શાળાની નવી ઇમારત છેલ્લા ઘણા સમયથી વિવાદ સાથે જોડાયેલી છે. ગામમાં કુમાર અને કન્યા એમ બે અલગ અલગ પ્રાથમિક શાળા છે.હાલમાં કુમાર શાળાની નવી બિલ્ડીંગ બની હોવાથી કુમાર શાળા કન્યા શાળામાં કાર્યરત છે. કુમાર શાળા માટે જે નવી ઇમારત બનાવાઈ અને લોકાર્પણ થયું તેના કામમાં અધૂરાશો, ગુણવત્તા વગર બાંધકામ થયું હોવા સહિતના બાબતે અગાઉ વાલીઓ દ્વારા રજુઆત કરાઈ અને આચાર્યએ નબળી ગુણવત્તાના કારણે શાળાનો કબ્જો સ્વીકારવાની ના પાડતા ડીડીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે રેલી પણ નીકળી હતી. જે બાદ રાજ્યસ્તરેથી તપાસના આદેશ અપાયા હતા.આ તમામ બાબતો વચ્ચે મંગળવારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો ત્યારે કુમાર શાળાના બાળકો હાજર ન હતા, વાલીઓ વિરોધ કરવા પહોંચે તે પહેલા પોલીસ બોલાવી લેવાઇ, તપાસ થઈ નથી, રાતોરાત ઉદ્ઘાટનના આક્ષેપો કરાયા હતા. જોકે, આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જે તે સમયે બાંધકામ બાબતે રજૂઆતો થઈ ત્યારે સ્ટેટ લેવલેથી ટીમ આવી હતી તેઓ દ્વારા તપાસ કરી જે અધુરાશો હતી તે પુરી કરાવાઇ છે એજન્સીને અને કોન્ટ્રાક્ટર દ્વારા સર્ટિફિકેટ અપાયું છે.શાળામાં કાંઈ પણ થાય તો 3 વર્ષ સુધી એજન્સીની જવાબદારી છે તેવું લેખિત આપવામાં આવ્યું છે. કુમાર શાળાનો સમય બપોર પાળીનો છે જ્યારે આ કાર્યક્રમ સવારની પાળીમાં 11 વાગ્યા પછી ગોઠવાયો હોવાથી બાળકો હાજર ન હતા. ઉદ્ઘાટન બાબતે શાળાના આચાર્યને અગાઉ જાણ કરાઈ હતી તેમ જણાવી નવી શાળા શરૂ કરવા જાણ કરી દેવાઈ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:58 am

યુવકની ઘાતકી હત્યા કરાઈ:હોડકોમાં આડા સબંધના મનદુઃખે યુવકની હત્યા

તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુઃખે હત્યા નીપજાવી દેવામાં આવી હતી. બે દિવસથી લાપત થયેલા યુવકનો મૃતદેહ હોડકો ગામની સીમમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં મળી આવ્યો હતો, જે મામલે નજીકમાં રાજવાણીવાંઢમાં રહેતા પાંચ શકમંદ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હોડકો નજીક બન્ની વિસ્તારમાં 23 વર્ષીય ઈસ્માઈલ ઈબ્રાહીમ હાલેપોત્રાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે નથુવાણીવાંઢમાં રહેતા મૃતકના પિતરાઈ કાકા ઇશાભાઈ અમીનભાઈ ભચુભાઈ હાલેપોત્રાએ ધોરડો પોલીસ મથકે રાજવાણીવાંઢમાં રહેતા શકમંદ આરોપી અબ્દુલા હૈદર હાલેપોત્રા, હનીફ અબ્દુલા હાલેપોત્રા, ખાનુ મામદ હાલેપોત્રા, ઈસા કાદુ હાલેપોત્રા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમનો ભત્રીજો 8 માર્ચના રાત્રે ઘરેથી નીકળેલો હતો.જે બીજા દિવસે સવાર સુધી પરત આવ્યો ન હતો અને તેનો મોબાઈલ પણ બંધ હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.એ દરમિયાન મંગળવારે સવારે ચાર વાગ્યાના અરસામાં હોડકો ગામની સીમમાં આવેલ ઉધમા કડો નજીક બન્ની વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગી યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા દેખાતા તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.જે બાદ મૃતદેહને પીએમ માટે ખાવડા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ આડા સબંધ મામલે યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હાલ શકમંદ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરડો પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. ચાવડા સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. શિકાર કરવા જવાના બહાને શિકાર બનાવ્યો !મૃતક યુવકને આરોપીની અપરિણીત બહેન સાથે આડા સબંધ હતા. અગાઉ આ મામલે બન્ને પરિવાર વચ્ચે વાતચીત બાદ સમાધાન પણ થયેલો હતો. આડા સબંધના મનદુઃખે કિશોર વયના આરોપીએ મૃતક યુવકને શિકાર કરવા માટે સીમમાં જવાનું કહી સાથે લઇ ગયો હતો.જે બાદ જંગલ વિસ્તારમાં ગળાના ભાગે કુહાડીનો ઘા મારી ઢીમ ઢાળી દીધો હતો. આથમણી બન્નીમાં 26 વર્ષ બાદ હત્યાનો બનાવકચ્છના આથમણી બન્ની વિસ્તારમાં લાંબા સમય બાદ હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર ફેલાઈ છે. અગાઉ ભૂકંપ (26 વર્ષ) પહેલા આ વિસ્તારમાં આવેલા શેરવો-સરાડો સીમ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. સામાન્ય મારામારી સહિતના બનાવો વચ્ચે ચકચારી ખુનના બનાવથી બન્ની વિસ્તારના માલધારી સમુદાયમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:56 am

બોમ્બ ધમકીને લઈને ફફડાટ વ્યાપ્યો:ભુજ સહિત રાજ્યની પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ફરી પોકળ ધમકી

ભુજ સહિત મંગળવારે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. વિવિધ શહેરોની પાસપોર્ટ ઓફિસોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ભુજમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસમાં ફફડાટ ફેલાયો હતો. ધમકીભર્યા ઈમેલની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હેડ પોસ્ટ ઓફિસ અને તેની અંદર આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષાના કારણોસર કચેરી તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. કચેરીમાં હાજર કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ખૂણેખૂણાની તપાસ હાથ ધરી હતી. જોકે, સર્ચ ઓપરેશન બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેને પગલે તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માત્ર ભુજ જ નહીં પરંતુ રાજ્યની અંદાજે 5 થી વધુ મુખ્ય પાસપોર્ટ ઓફિસો અને મહત્વની સરકારી ઈમારતોને ધમકી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં ધમકીની આ ત્રીજી ઘટના છે. અગાઉ ભુજની પોસ્ટઓફીસ, બાદમાં કોર્ટ અને ફરી એક વાર પોસ્ટ ઓફિસને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે પોકળ સાબિત થઈ છે. વારંવાર મળતી આ નનામી ધમકીઓને કારણે પોલીસ હવે આ ઈમેલના આઈપી એડ્રેસ અને તેના મૂળ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:55 am

સિટી એન્કર:સીએના પરિણામોમાં દીકરીઓનો દબદબો, ‘અઘરું છે પણ અશક્ય નથી’ ના સૂત્રને ભુજની દીકરીઓએ સાર્થક કર્યું

સામાન્ય રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ને દેશની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે, પરંતુ ભુજ સેન્ટરના તાજેતરના પરિણામોએ નવો ઈતિહાસ રચ્યો છે. આ વખતે ભુજમાંથી જે 6 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બન્યા છે, તે તમામ દીકરીઓ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, કચ્છની દીકરીઓ હવે પડકારજનક ક્ષેત્રોમાં માત્ર પ્રવેશ જ નથી કરી રહી, પરંતુ સર્વોચ્ચ શિખરો પણ સર કરી રહી છે. સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત એ છે કે, સીએ ફાઈનલના પરિણામમાં વીવા એચ. ફુરિયાએ સમગ્ર ભારતમાં 44મો રેન્ક મેળવ્યો છે. ભુજ સેન્ટરને નવી 6 મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મળી છે, જેમાં વીવાની સાથે પૂજા ભરત ગજરા, રાધિકા હિતેશભાઈ રૂપારેલ, રૂત્વી પ્રશાંતભાઈ બારમેડા, ટીશા વિનોદભાઈ ઠક્કર અને વૈશાલી દિનેશભાઈ ઓઝાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિવિધ સ્તરની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિને વધાવવા ભુજ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં તેજસ્વી તારલાઓએ સંઘર્ષગાથા અને અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે બ્રાન્ચના ચેરપર્સન સી.એ. મનીષા જોષી, વાઈસ ચેરમેન કપિલ ઠક્કર, સેક્રેટરી મીત પીઠડીયા, ટ્રેઝરર આરીફ મેમણ, મેમ્બર શાહિદ મેમણ, પુર્વ ચેરમેન ભાર્ગવ શંકરવાલા, વરિષ્ઠ સભ્યો જાગૃત અંજારિયા, હરસુખલાલ દુબલ, હેમેન ફુરિયા, જેની ફુરિયા, રેહાન મેમણ, પૂર્વ ચેરમેન ઝહિર મેમણ, જગદીશ હિરાણી હાજર રહ્યા અને ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. ફાઇનલની સાથે ઈન્ટર અને ફાઉન્ડેશનનું પણ સારું પરિણામસી.એ. ફાઈનલમાં કુલ 83 વિદ્યાર્થીમાંથી 15 વિદ્યાર્થી વિવિધ ગ્રુપમાં સફળ થયા છે. ઈન્ટરમીડિએટમાં 172માંથી 36 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે, જેમાં સ્નેહા સોલંકી 397 ગુણ સાથે સેન્ટર ટોપર રહી છે. જ્યારે સી.એ. ફાઉન્ડેશનમાં 24.03 ટકા પરિણામ સાથે 31 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જેમાં માનસી જીતેશ વાગજીયાણીએ 339 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:53 am

અલકાપુરીમાં બોલાચાલી બાદ પુત્ર હિંસક બન્યો:તું મારી માતા નથી,ડીએનએ કરાવવો છે કહી પુત્રે માતાના માથે કુહાડી મારી દીધી

અલકાપુરીમાં તું મારી માતા નથી, મારે ડીએનએ ટેસ્ટ કરાવવો છે કહી સગા પુત્રે માતા ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. સાવકા પિતા વચ્ચે પડતા પુત્રે તેમના પર પણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ઘરમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને દંપતીને તાત્કાલિક સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાવકા પિતાએ અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ કરી છે. કાશીવિશ્વનાથ સોસાયટીમાં રહેતા પુષ્પાબહેન શાહે 2010માં દિલીપભાઈ સાથે લગ્ન કર્યા હતા. પુષ્પાબહેન તેમના દીકરા ઋષિત સાથે આવ્યા હતા. દિલીપભાઈએ જ ઋષિતને ઉછેર્યો હતો. ઋષિત અટલાદરામાં અલગ રહે છે. મંગળવારે બપોરે 12.30 વાગ્યે ઋષિત ઘરે આવ્યો હતો અને પુષ્પાબહેનને કહ્યું હતું કે, ‘તું મારી માતા નથી, મારે ડીએનએ ટેસ્ટ કરાવવો છે, ટેસ્ટ કરવાવાળા ઘરે આવે જ છે.’ બાદમાં માતાના માથે કૂહાડીના ઘા ઝિંક્યા હતા. દિલીપભાઈ બચાવવા આવતાં તેમને પણ માથે ઈજા પહોંચાડી હતી. પાડોશીઓએ દંપતિને સયાજી હૉસ્પિટલ ખસેડ્યા હતા. ઋષિત પોલીસ મથકે હાજર થયો હતો. તેને શું થયું ખબર નથી, હું પૂછવા ગયો કે માતાને કેમ મારે છે તો મને પણ માર્યોતેના મગજમાં શું ચાલી રહ્યું હતું કે તે આજે કુહાડી લઈને ઘરે આવ્યો હતો. તેના સગા પિતા મૃત્યુ પામ્યા છે. આ જ સુધી તેણે મારી સાથે ક્યારેય ગેરવર્તણુંક નથી કરી, ખબર નહીં આજે શું થયું. તેણે તેની માતાને અનેકવાર પૂછ્યું હતું કે, તું સાચુ કહે છે ને કે હું તારો જ દીકરો છું. તો તેની માતાએ હા પાડી હતી. તેને પરણવું નથી. બીજુ ઘર પણ બનાવી આપ્યું છે.હું પૂછવા માટે ગયો કે, કેમ મારે છે તો મને પણ માર્યું. > દિલીપભાઈ શાહ ઋષિત પૂર્વ આયોજનના ભાગરૂપે કુહાડી સાથે લઈને જ આવ્યો હતોઋષિત માતા-પિતાથી અલગ રહે છે. તેના સાવકા પિતા દિલીપભાઈએ તેને રૂા.30 લાખ ખર્ચીને તેને કેનેડા મોકલ્યો હતો. જોકે તે હાલમાં અટલાદરા વિસ્તારમાં એકલો રહે છે. ઘરમાં ફૂલ-છોડ રોપવાનો શોખ હોવાથી તે કુહાડી પણ રાખતો હતો. મંગળવારના રોજ તે પોતાની સાથે કુહાડી જ લઈને હૂમલો કરવાના આશયથી જ આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:26 am

દારૂબંધીના લીરેલીરાં ઊડ્યા:વાઘોડિયા રોડના હીરાબા નગરમાં ઓપન બાર, દારૂ પીવા માટે અલાયદી રૂમ,મ્યૂઝિકની સુવિધા

વાઘોડિયા રોડ પર વિદેશી દારૂના વેચાણની સાથે બારની સુવિધાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પંખા-મ્યુઝિક સાથે બેસીને પીવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવતી હોવાનું નજરે પડે છે. દારૂ માટે ઓનલાઈન પેમેન્ટ પણ સ્વીકારવામાં આવે છે. વૈકુંઠ ચાર રસ્તા નજીક હીરાબા નગર ગ્રાઉન્ડ પાસે મકાનમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ અડ્ડાનો સંચાલક યોગેશ ચાવડા હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં અડ્ડા ઉપર બાર જેવી સુવિધા આપવામાં આવે છે. જેમાં ઠંડી બિયર અને વિદેશી દારૂની જે માંગો એ બ્રાન્ડની બોટલો શોખીનોને આપવામાં આવે છે. વિદેશી દારૂ સામે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. જેના માટે સ્કેનર પણ મૂકવામાં આવ્યું છે. દારૂ ખરીદીને બાજુમાં જ બાર જેવી જગ્યામાં બેસીને દારૂ પીવાની સુવિધા આપવામાં આવે છે. ત્યાં ઠંડા પાણીના જગ હોય છે અને ગ્લાસથી માંડીને ચાખણાનાં પડીકા પણ પૂરા પાડવામાં આવે છે. વીડિયોમાં એક સાથે 25થી વધુ લોકો દારૂ પીતા નજરે પડી રહ્યાં છે અને એમના વાહનો પણ અડ્ડાની બહાર પાર્ક થયેલા છે. બાપોદ પોલીસના જાતના ડર વગર અડ્ડો સવારથી મોડી રાત સુધી ચાલતો હોવાથી શોખીનોની ભીડ જામે છે. જેના કારણે આસપાસના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. દારૂ પીવા માટે વિદ્યાર્થીઓ-નોકરિયાતો વધુ આવે છેવિદેશી દારૂ-બિયરના અડ્ડાના વાઇરલ વીડિયોમાં દારૂનું વેચાણ થતું હોવાનું નજરે પડે છે. અડ્ડાની બાજુમાં જ બાર છે. જેમાં દારૂ ખરીદી બેસીને પીવાની સુવિધા છે. વીડિયોમાં પીનારામાં વિદ્યાર્થીઓ અને કંપનીઓના કર્મચારીઓ કંપનીના ડ્રેસમાં દારૂ પિતા હોવાનું નજરે પડે છે. ગરમીને કારણે પંખાની પણ સુવિધા છે. જૂનો વીડિયો છે, અગાઉ વાયરલ થયો હતો, રેડ કરી હતીઆ જૂનો વિડિઓ છે. અગાઉ પણ વાઇરલ થયો હતો. બાપોદ પોલીસે હીરાબા નગર ખાતે જઈ દરોડો પાડ્યો હતો. જેમાં કશું નહીં મળતા નીલ રેડ કરી હતી. ફરીથી ચાલુ થયું હોય તો હું તાત્કાલિક તપાસ કરાવીશ. > એમ.કે.ગુર્જર, પીઆઇ, બાપોદ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:24 am

ત્રિવેણી થિયેટર ગ્રુપ દ્વારા યોજાયો થિયેટર વર્કશોપ:રંગભૂમિના મહિલાઓ દ્વારા મહિલાઓ માટેના વર્કશોપમાં જજમેન્ટના ડર વગરની અભિવ્યક્તિ

ત્રિવેણી’ નાટ્ય સંસ્થા દ્વારા ‘યોગનિકેતન’ ખાતે મહિલાઓ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલી એક થિયેટર વર્કશોપનું આયોજન થયું હતું. ‘શી ઇઝ એ સ્ટોરી. શી ઇઝ એ વોઇસ’ના સૂત્રને સાર્થક કરતી આ કાર્યશાળામાં ‘મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે’ના ઉદ્દેશ્ય સાથે વર્કશોપ યોજાયો હતો. જેમાં 20 જેટલા તાલીમાર્થી મહિલાઓ જોડાઇ હતી. આજના અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં મહિલાઓનું વ્યક્તિત્વ મોટેભાગે ઘર અને ઓફિસની જવાબદારીઓ પૂરતું મર્યાદિત બની જતું હોય છે. સ્ત્રીઓને પોતાની આંતરિક ક્ષમતાઓને ઓળખવા અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા માટે એક મોકળું મેદાન પૂરું પાડવાના હેતુથી વર્કશોપ યોજાયો હતો. તાલીમ દરમિયાન પૂજા પુરોહિતે સમજાવ્યું હતું કે, રંગભૂમિમાં કોઈ ચુસ્ત અને જડ નિયમો નથી હોતા. આ જ અભિગમ મહિલાઓએ જીવનમાં પણ કેળવવાની જરૂર છે. જ્યારે તમે અહીં મુક્ત મને ભાવના વ્યક્ત કરી બોલો છો ત્યારે તમારા મનનાં બંધ દ્વાર ખુલે છે. રંગભૂમિ એ માત્ર સંવાદોના અભિનયની જગ્યા નથી પણ તમારા શરીર અને શ્વાસ દ્વારા તમારી ભીતર રહેલી શક્તિને પ્રગટ કરવાનું માધ્યમ છે. અહીં કોઈની આલોચના અને જજમેન્ટના ડર કે ટીકાના બીક વગર તેઓએ ભાગ લીધો હતો અને પોતાની સંવેદનાઓ રંગભૂમી પર રજૂ કરી હતી. રંગભૂમિ અને સ્ત્રી એકમેકનાં પૂરક છેનાટ્યવિદ પી.એસ.ચારી જણાવ્યું હતું કે, રંગભૂમિ અને સ્ત્રી એકમેકના પૂરક છે. સ્ત્રીમાં સ્વાભાવિક રીતે જ સંવેદના અને પાત્રાલેખનની સમજ હોય છે. નાટક શીખવાથી તમારો જીવન પ્રત્યેનો આખો અભિગમ બદલાય છે અને આ હકારાત્મક બદલાવ જ મહિલા દિવસની સાચી ઉજવણી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:22 am

યૂથ ફેસ્ટમાં વિદ્યાર્થીઓએ કરી મોજ:આંકડાની દુનિયાના વિદ્યાર્થીઓ અર્થરંગમાં ઝૂંબા-ભરતનાટ્યમ કરી ડાન્સનું ગણિત શીખ્યા

મ.સ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના અર્થ રંગ યુથ ફેસ્ટના બીજા દિવસે કેમ્પસમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે ટ્રેઝર હન્ટ, ડાન્સ પ્રતયોગિતા, શોર્ટ ફિલ્મ મેકિંગ, રિલ્સ મેકિંગ, ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.આંકડાની દુનિયાના વિદ્યાર્થીઓએ અર્થરંગમાં ઝૂંબા-ભરતનાટ્યમ કરી ડાન્સનું ગણિત શીખ્યા હતા. જ્યારે બીજી તરફ ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દાખલાના નહીં પણ કેમ્પસમાં મુકેલા ક્લુ ઉકેલ્યા, પડકારો પૂર્ણ કરી ટીમવર્કની ભાવના દર્શાવી હતી. ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા ડિવાઇન અનુભવ કરાવ્યો હતો અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવી હતી. જ્યારે ફોટોગ્રાફી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમેરામાં અર્થ રંગની કલાત્મક પળોને કેદ કરી ખરો અર્થ આપ્યો હતો. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ટીમવર્કની ભાવના રહે તે હેતુથી ફેસ્ટનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:20 am

બુધવારની બપોરે:...ભમ્મ થઈ ગયા!

દુનિયા આખી ક્યારેક ને ક્યારેક તો ‘ભમ્મ...’ થઈ જાય છે, એટલે અમે કશું નવું કે ગૌરવપ્રદ નહોતું કર્યું. બસ, ચાર ફૂટની ઊંચાઈથી પડ્યા, એમાં થાપાનો બૉલ ‘પતી ગયો’ અને દોઢ મહિનાનો ખાટલો હંકારી રહ્યો છું!‘તે....થયું’તું શું? કેવી રીતે પડ્યા...?’ આ બેમાંથી એક અથવા બંને સવાલો પ્રત્યેક ખબરકાઢુ ઘેરથી ગોખીને આવ્યો હોય છે. ચોળાફળીની લારીવાળાની જેમ દરેકને જવાબ સંતોષપૂર્વક આપવો પડે છે. ‘એમાં તો....તમે જાણો છો, હું વાંચતો/લખતો રાત્રે હોઉં છું, એમાં બુક શેલ્ફ ઉપરથી રામ જાણે કંઈક ઉતારવું હશે, તે બાજુમાં સ્ટૂલ મૂકીને ઉપર ચઢ્યો. મારા બદલે સ્ટૂલ ખસી ગયું ને પડ્યો એમાં પૂરા શરીરનું વજન થાપા ઉપર આવી ગયું. બૉલ તૂટી ગયો. રૂમમાં પાછો હું એકલો. કોને બોલાવું? સમજો ને, ઓલમોસ્ટ અઢી કલાક તો કરાહતો કરાહતો પડી રહ્યો. મોબાઇલ પકડવાની માંડ શક્તિ આવી, પછી હકીને ફોન કર્યો... ચાર કલાક તો ઓપરેશન ચાલ્યું. હોસ્પિટલમાં હજી વીસેક દિવસ જ થયા છે... રામ જાણે બીજા કેટલા વીસ-વીસ કાઢવાના છે!’(1) આવી રીતે સ્ટૂલ પર ચઢાય જ નહિ! (2) રાત્રે તઈણ વાગે તમારે એવી તે શી જરૂર પડી કે, સ્ટૂલ પર ચઢવું જ પડે? (3) આટલો મોટો એક્સિડન્ટ થઈ ગયો, તે અમને ફોન ના કરી દઈએ? અડધો કલાકમાં આવી જાત! (4) કયા ડોક્ટરને બતાવ્યું? અરે, ગમે તેને બતાવાય જ નહિ.... મને કીધું હોત તો અમારા રાવજીભ’ઈ ડોક્ટર છે, એ ઇન્ડિયામાં બેસ્ટ છે, એમને તમારા ઘેર ના મોકલાવી દેત? (5) દાદુ, પૈસા-બૈસાની જરૂર હોય તો કહેજો.... હજાર-બે હજાર તો કાચી સેકન્ડમાં મોકલાવી દઈશ...! ઓહ, સોરી..... આમાં તો સાતેક લાખનો ખર્ચો આવશે, એમ?.... ડોન્ટ વરી.... બીજી વાર પડો ત્યારે કહેવડાવજો ને!ઈન ફેક્ટ, હું પડ્યો છું એક જ વાર, પણ ‘હવે પડો’ એ પહેલાં કે એ પછી શું કરવું અને શું ન કરવું, એની કારગત સલાહો આવતી જાય છે. વાત ઈન્ટરેસ્ટિંગ એમાં બને છે કે, દરેક પોતે પડ્યા, એ ઘટનાક્રમ સાથે કહેવાની એમને બહુ લજ્જત આવે છે. નોર્મલી, તો દર્દીને કશું ન પૂછો તો ય ચાલે. તમે ખબર કાઢવા જાઓ, એટલું પૂરતું છે, પણ તમે ફૂટપાથ પર ઊભા’તા ને એક બાઇકવાળો કેવો તમને લપેટમાં લેતો ગયો, માણસ ભેગું થઈ ગયું, કોઈ ઊભું કરનાર નહિ ને એ તો ઓર્થોપેડિક પાસે લઈ ગયા, એક્સ-રે બેક્સ-રે કઢાવ્યો ત્યારે ખબર પડી કે, ઢીંચણ વળી ગયો છે. આખી ઘટના તમને પૂરા ઉત્સાહથી કહે. વચમાં સવાલ નહિ પૂછવાનો અથવા તમે આખી વાત સમજી ગયા છો, એવી મૂન્ડીઓ પણ નહિ હલાવવાની!તમે ખાટલે પડ્યા હો, એટલે આવા પચાસેક ઢીંચણીયાઓની દર્દભરી દાસ્તાનો વગર પૂછે સાંભળવી પડે. એમાં તમારો ખભો ભાંગ્યો હોય ને એમનો (આઠેક વર્ષ પહેલાં) હાથ ભાંગ્યો હોય તો એ વીસેક મિનિટની ચર્ચામાં તમને સાબિત કરી આપે કે, ખભા કરતાં હાથ ભાંગવો વધુ ખતરનાક છે. કાચી સેકન્ડ માટે તો આપણે ય ‘કન્વિન્સ’ થઈ જઈએ કે, આપણા ખભા કરતાં આમની જેમ હાથ ભાંગ્યો હોય તો સારું હોત! કંઈ નહિ... નેક્સ્ટ ટાઈમ, એ તો!જોકે, ગુજરાતીઓના એક સંસ્કાર સારા છે કે, કોઈની આવી ખબર કાઢવા જાય ત્યારે ચા-કોફીની અપેક્ષા રાખતા નથી (...ને સાલાઓ, આપણા માટે લઈ આવતા ય નથી! આ તો એક વાત થાય છે!) સામાન્ય રીતે તો આપણા સંસ્કાર એટલા સારા કે, એ લોકો ‘બૉટલ’ લઈને આવે, એવી અપેક્ષા આપણે રાખતા નથી ને રાખીએ તો ય કોઈ લઈને આવતું નથી. નહિ તો ગુજરાતીઓમાં કહેવત છે કે, ‘કોઈને ત્યાં ખાલી હાથે ન જવાય!’ આપણે લાઈફ-ટાઈમમાં કોઈનું ગળું દબાવ્યું ન હોય એટલે પહેલાં શું દબાવવું, એની તો ભૌગોલિક માહિતી ય ન હોય. આવો ગુસ્સો એટલે આવે કે, નફ્ફટો વ્હિસ્કી-ફિસ્કીને બદલે અડધો ડઝન નારિયેળ લટકાવતાં આવે. મૌસમ્બી-નારંગી તો અમથી ય ભાવતી ન હોય, પણ આ લોકો ‘ખાલી કરવાનો ભાવ છે, ભ’ઈ...’ના ધોરણે કિલો-કિલો મૌસમ્બા ને નારંગા લેતા આવે! આપણને ભાવે મીઠાઈઓ પણ એ લોકો જાતે જ નક્કી કરી લે કે, ‘દાદુને તો ડાયાબિટીસ છે, એટલે ગળ્યું-ફળ્યું ના ખવડાવાય!’પ....પણ હવે પહેલાં જેવા ગુજરાતીઓ રહ્યા છે ક્યાં? ભલે હું ડ્રિન્ક્સ લેતો નથી, પણ વિવેક ખાતરે ય એ લોકો ખબર કાઢવા આવે ત્યારે લાવવું તો જોઈએ ને? મને કેટલું સારું લાગે! કદાચ હું હા ય પાડી દઉં, તો આબરૂ એમની બચી જાય ને? એ તો હવે સારું છે કે, હિંદી ફિલ્મો જોઈ જોઈને ખબરકાઢુઓ હાથમાં વજનદાર બૂકે લઈને સ્માઈલો સાથે આવતા નથી! એ તો આપીને છૂટી જાય, પછી આપણે બૂકેઓના ઢગલા ક્યાં નાંખવા? આ લખનારની સમજ મુજબ, જગતનો સૌથી વ્યર્થ ખર્ચો બૂકે કે હારતોરાનો છે. જેને માટે લઇ ગયા હો, એ એની સામે ય જોતો નથી ને હાથ અડાડીને બાજુમાં ઊભેલા ચપરાસીને આપી દે છે. અરે, બૂકા-ફૂકાને બદલે છેવટે પેનનો સેટ, શર્ટ, ગિલેટવાળો નેકલેસ કે કાંઈ ન સૂઝતું હોય તો, ભલે સીઝન ન હોય તો ય છત્રી ગિફ્ટમાં આપો. તમારું કેટલું સારું દેખાશે?જોકે, જોખમી ટેબલ પર ચઢ્યા પહેલાં, ગબડી પડવાથી બચવાના અત્યારે તો બે-ત્રણ ઉપાયો મળી આવ્યા છે. એક, હાલકડોલક ટેબલ પર કદી જાતે ન ચઢવું. વાઈફ અથવા ધૂળજીને ચઢાવવો. બીજું, જે ટેબલ પર આરોહણ કરવાના હો, એની આજુબાજુ ગાદલાં પાથરી દેવા. ત્રીજું, સહુ સહુનાં કર્મ પ્રમાણે, લાઈફમાં એકાદ વખત તો ક્યાંક ને ક્યાંક ગુલાંટ ખાવાની જ છે તો મારી સલાહ છે, પરમાત્માને રોજ પ્રાર્થનાઓ કરતા રહેવું કે, ‘પ્રભો, મને ગબડી પડવાથી જીવનભર બચાવજે!’ સિક્સર- અરે વાહ.....આ બાબો તમારો છે?- તમારો હોય તો તમે લઇ જાઓ!

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:20 am

કોપીકેસ રોકવા નવો પ્રયાસ:મ.સ.યુનિવર્સિટીમાં પરીક્ષામાં જામર લાગશે સ્માર્ટ વોચ-પેન કામ નહીં કરે, ચોરી અટકશે

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓમાં જામરના ઉપયોગ કરવા વિશે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ત્યારે યુજીસીએ ઉચ્ચશૈક્ષણિક સંસ્થાઓમાં જામર લગાડવાનો નિર્દેશ કર્યા છે. જેના ભાગ રૂપે અગામી સમયમાં તબક્કાવાર એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન જામર લગાડવામાં આવશે. પરીક્ષામાં મોબાઇલ-ડીજીટલ ડિવાઇસનો ઉપયોગથી કોપી પર રોક લાગશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં જામર લાગડવા માટે કઇ વસ્તુઓનું ધ્યાન રાખવું તે વિશે સૂચનાઓ આપી છે. યુનિવર્સિટીમાં યોજવામાં આવતી પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓ દરમિયાન જામર લગાડવામાં આવશે. પરીક્ષા દરમિયાન મોબાઇલ તથા ડિજીટલ ડિવાઇસના માધ્યમથી થતી કોપી જામરના ઉપયોગથી અટકાવી શકાશે. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં અગાઉ પણ મોબાઇલ. ડિજીટલ ડિવાઇસ જેવી કે સ્માર્ટ વોચ, સ્માર્ટ પેનનો ઉપયોગ કરીને કોપી કરવામાં આવતી હોય તેવા કિસ્સા બહાર આવતા હોય છે. પરીક્ષા કેન્દ્ર પર જામર તૈનાત કરતી વખતે ખાતરી કરવામાં આવશે કે જામર પરીક્ષા કેન્દ્રોની બહાર હાલના મોબાઇલ સંચાર નેટવર્કમાં દખલ ન કરે તે પ્રકારે લગાડવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રોમાં જામરનો ઉપયોગ કરવા ઇચ્છુક સરકારી માન્ય પરીક્ષા સંચાલન સંસ્થાઓ માટેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જામર ભાડે લઈને ઓછી શક્તિવાળા જામર, વર્ગખંડ જામર લગાડવાની મંજૂરી આપવામાં આવશે. પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓ, અગાઉથી તેમના દ્વારા વાર્ષિક અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન લેવામાં આવનારી પરીક્ષાઓનું કેલેન્ડર પણ રજૂ કરવાનું રહેશે. જેમાં જામર તૈનાત કરવા માટે પરીક્ષા કેન્દ્રોનો ઉલ્લેખ હોય, જેથી આવી પરીક્ષાઓમાં જામર તૈનાત કરવા માટે સંકલિત મંજૂરી સચિવના કાર્યાલય પાસેથી લેવામાં આવશે. સંસ્થાએ સુરક્ષા વિભાગની મંજૂરી જરૂરી જામરથી કમ્યુનિકેશન નહીં ખોરવાયપરીક્ષામાં કલાસરૂમ કક્ષાના જામર ફીટ કરવામાં આવશે. જેનાથી અન્ય કોમ્યુનીકેશનને કોઇ અસર થશે નહિ. પરીક્ષા કેન્દ્રની બહારની બાજુએ આવેલા મોબાઇલ નેટવર્કને અસર ન થાય ત્યાં માટે કલાસરૂમ જામર જે લો ફ્રીકવન્સીવાળા આવે છે તેનો ઉપયોગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:18 am

રાજકારણ ગરમાયું:ડેસરની 25 મંડળીમાં સાવલીના ધારાસભ્યની ફરિયાદ બાદ ઓડિટ શરૂ

બરોડા ડેરીની ચૂંટણીમાં હોટ સીટ ગણાતી ડેસર બેઠકની 25 મંડળી પર સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની ફરિયાદ બાદ મીલ્ક ઓડિટ શરૂ થતાં રાજકારણ ગરમાયું છે. મંડળીઓમાં અનિયમીતતાની ફરિયાદ ધારાસભ્યે કરી હતી. જોકે ડેસર બેઠક પરથી ડેરીની ચૂંટણીમાં કુલદીપસિંહ રાઉલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે કાંટાની ટક્કર મનાય છે. મહત્વનું છે કે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ પહેલા પણ ડેરીના સંચાલકો વિરૂધ્ધ ભ્રષ્ટાચાર સહિત મુદ્દે સરકારમાં ફરિયાદો કરી હતી. પશુપાલકોની ફરિયાદના આધારે સરકારે ડેરીના વર્તમાન પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીને શો કોઝ નોટીસ આપી નિયમોનું પાલન કેમ ન કર્યું તેનો જવાબ આપવા 13 માર્ચે બોલાવ્યા છે. 25 જેટલી મંડળીઓમાં અનિયમિતતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતીડેસરની 25 જેટલી મંડળીઓમાં અનિયમીતતા હોવાની ફરિયાદ મે કરી હતી. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી મંડળીઓમાં ઓડિટ કરવામાં આવ્યું ન હતું. આ અગાઉ પણ મેં સહકારી ક્ષેત્રે ફરિયાદો કરી છે. > કેતન ઈનામદાર,ધારાસભ્ય,સાવલી ધારાસભ્યની ફરિયાદ બાદ ડેસરની મંડળીઓમાં ઓડિટ શરૂ કરાયું છેસાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે 7 માર્ચે ડેસરમાં ચાલતી મંડળીઓ સામે અનિયમીતતાના અભાવની ફરિયાદ કરી હતી. ડેસરની 25 જેટલી મંડળીઓમાં ઓડિટ કરવામાં આવી રહ્યું છે.> ગૌરાંગ ગરાસિયા, સ્પે.મિલ્ક ઓડિટર(ચાર્જ), મિલ્ક ઓડિટ ઓફિસ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:16 am

કુખ્યાત બુટલેગરની ધરપકડ થઈ:ટ્રેનોમાં દારૂ લાવીને સપ્લાય કરતો બૂટલેગર રિયાઝ શેખ રેલવે પોલીસમાં 25 દિવસે હાજર

ટ્રેનોમાં દારૂ લાવી રેલવે સ્ટેશનથી સપ્લાય કરતા બૂટલેગરોનું નેટવર્ક એસએમસીએ 25 દિવસ પહેલાં પકડી 4 આરોપીની ધરપકડ કરી 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસના સુત્રધાર ફતેગંજના બુટલેગર રિયાઝ શેખને સોમવારે પોલીસે ધરપકડ કર્યાનું જાહેર કર્યું છે જો કે, તે પોલીસ સમક્ષ જાતે જ હાજર થયો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. કેસની તપાસ ભરૂચ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પરથી 13 ફેબ્રુઆરીએ રૂ.8.45 લાખનો દારૂ પકડાયો હતો. ટ્રાવેલ બેગો મારફતે આ દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. બીજી બાજુ બૂટલેગરો પોલીસની રહેમનજર હેઠળ ખાસ એઆર સિમ્બોલ લગાવીને ખુલ્લેઆમ દારૂ સપ્લાય કરતા હતા. એસએમસીના દરોડા બાદ પણ રેલવે પોલીસ ઉંઘતી રહી હતી અને તેમના નાક નીચેથી બૂટલેગરો દારૂ સપ્લાય ચાલુ રાખ્યો હતો. આ મોટા નેટવર્કમાં કૂલીઓ, રિક્ષા ચાલકોની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. બૂટલેગર રિયાઝ શેખને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માગણી કરનાર છે. ત્યારે તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું હતું કે કેમ? દારૂ ક્યાંથી સપ્લાય કરાતો હતો? અન્ય કયા બૂટલેગર સુધી દારૂ પહોંચાડાતો હતો? સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ભરૂચના પીએસઆઈ એસ.કે.રાણાનો સંપર્ક કરતા થઈ શક્યો નહોતો. એસએમસીએ રેલવે સ્ટેશને દરોડો પાડ્યો ત્યારે 6 વોન્ટેડ પૈકી વલસાડનો કનુ વાડી પણ હતો. જોકે કનુ સાથે બુટલેગર અરવિંદ ઉર્ફે ચડ્ડો આ દારૂનો સપ્લાયર હોવાનું સુત્રોએ કહ્યું હતું. પરંતુ તે સમયે અરવિંદ ચડ્ડાનું નામ સામે આવ્યું નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ભાસ્કર ઇનસાઇડરિયાઝે સાગરિતોને જેલમાં સુવિધા અપાવવા કોલ કર્યારિયાઝ શેખને ભરૂચ રેલવે પોલીસે ફતેગંજથી પકડ્યો હોવાનું કહ્યું હતું. જોકે ધરપકડ બાદ રિયાઝ શેખે તેના સાગરીતોને ફોન કરીને જેલમાં તેને સુવિધા મળે તેની ગોઠવણ શરુ કરી હતી. ધરપકડ બાદ પણ રિયાઝે તેના મળતિયાઓ મારફતે કેટલાક ફોન કોલ કર્યા હતા, સાથે જ કેટલાક આરોપી જે અગાઉ જેલમાં રહીને આવ્યા હોય તેમના સંપર્ક કરવામાં આવ્યા હતા તેમ સુત્રોએ કહ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસ કર્મીઓની પણ સંડોવણી બહાર આવી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:16 am

ઉનાળાની શરૂઆત થતાં જ રોડ પીગળવા લાગ્યા:નવાયાર્ડમાં 50 લાખના ખર્ચે બનેલો રોડ પીગળી તૂટ્યો, અટલાદરા-કલાલી રોડ ઉપર રાહદારીનાં ચપ્પલ ચોંટ્યાં

શહેરમાં હલકી કક્ષાના બનેલા રોડ ઉનાળામાં 41 ડિગ્રી તાપમાન થતાં જ ઓગળવા લાગ્યા છે. નવાયાર્ડમાં રૂ. 50 લાખના ખર્ચે બનેલો રોડ પીગળી જતા તેમાં ખાડા પડ્યા છે. તો અટલાદરા કલાલી રોડ પર ડામર પીગળતા રાહદારીઓના ચપ્પલ ચોંટી ગયા હતા. પાલિકા દ્વારા રેતી છાંટી ઢાંકપિછોડો કરાઈ રહ્યો છે. નવાયાર્ડમાં રૂ. 50 લાખના ખર્ચે બનેલા રોડ પર કરાયેલી હલકી કક્ષાની કામગીરી બહાર આવી છે અને 41 ડિગ્રી તાપમાનમાં જ રોડ પીગળવાનો શરૂ થયો છે. નવાયાર્ડમાં રોડ પીગળવા સાથે તૂટી જતા સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈએ ફરિયાદ કરી છે. અટલાદરાથી કલાલી રોડ પર પણ ડામર પીગળતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ હતી. તદુપરાંત ત્યાંથી જતા રાહદારીઓના ચપ્પલ ડામરના ચોંટી જતા પરેશાની થઈ હતી. 20 ડિગ્રી તાપમાન વધતાં રોડ પીગળે છે: પાલિકાપાલિકાના જન સંપર્ક વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ ઉનાળામાં લિક્વિડ સીલકોટ કરેલ રસ્તાઓની બ્લેક ટોપ સપાટી બપોરે વધુ ગરમી ગ્રહિત કરે છે. વાતાવરણના તાપમાન કરતાં બ્લેક ટોપ રોડની સપાટીનું તાપમાન 20 સેન્ટિગ્રેડ વધુ થાય છે. જેથી ડામર પીગળે છે. રોડના કામમાં ગ્રેડેશન યોગ્ય ન હોવાથી ડામર ઓગળે છે, આને બ્લીડિંગ કહેવાયરોડમાં ડીએમ, બીસી,કાર્પેટ અને સીલકોટ જેવા અલગ અલગ લેયર હોય છે. જેના ગ્રેડેશનમાં ભૂલ થાય તો 5 પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. આ ખામીમાં પોટ હોલ, ક્રેકિંગ, રેવલીંગ, રટિંગ અને બ્લિડિંગ છે. ડામર ઓગળવો તે બ્લિડિંગમાં આવે છે. રોડમાં એરવોઈડનું ગ્રેડેશન ન જળવાઈ તો આ ખામી સર્જાય છે. 3 રોડ પર ડામર પીગળતાં કોન્ટ્રાક્ટરોને દંડ કરાયોપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગે ટેક્નિકલ કારણો આપી ડામર પીગળતો હોવા મુદ્દે કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યો હતો. અલકાપુરી એક્સપ્રેસ હોટલથી એન્જોય રેસ્ટોરન્ટ સુધી, મકરપુરા એસટી ડેપો પાછળનો રોડ, સંગમ ચાર રસ્તા પાસે કરેલા રોડના કામમાં ડામર પીગળતા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકાર્યો હતો. - કમલેશ થોરાટ, રોડ એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:11 am

વડોદરાના ભાગ્યવિધાતાની આજે 164મી જન્મજયંતી:મહારાજા સયાજીરાવે કોલેજ બનાવી આપી તો શાસનની રજત જયંતીએ 500 વિદ્યાર્થીએ તેમના રથના ઘોડા કાઢી જાતે ખેંચ્યો

મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિકાસને સમાંતરે શિક્ષણને પણ પ્રોત્સાહન આપતા હતા, જેથી વિદ્યાર્થીઓ પણ તેમને આદર આપતા હતા. પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાવાસીઓ માટે અનેક લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. આપણા વડોદરામાં મહારાજાની પ્રજા હતી અને પ્રજાના પણ મહારાજા હતા. મહારાજા સયાજીરાવની 164મી જન્મજયંતીએ તેમનાં સ્તુત્ય કાર્યો અને લોકોએ પણ આદરભાવ વ્યક્ત કરવા માટે પડઘારૂપે પાડેલા કેટલાક કિસ્સાઓની વાત અહીં પ્રસ્તુત છે. પ્રજાના મહારાજા ... મહારાજાની પ્રજા... મહારાજાના જીવનના બે હળવા પ્રસંગો વડોદરા માટે માર્ચ શુકનવંતો.... ઇઝરાયેલ પર ઊડતા વિમાનમાં સયાજીરાવની યાદગાર તસવીરસયાજીરાવ ગાયકવાડ નિર્ણાયક પ્રસંગોને યાદગાર બનાવવા તસવીરો ક્લિક કરાવતા હતા. 1930ના દાયકામાં તેઓ ઇજિપ્તની મુલાકાતે ગયા હતા. વિમાન જોધપુરથી ઊડ્યું હતું. તેમની સાથે તેમના એડીસી તરીકે ડો.મોડક હતા. આ વિમાન જ્યારે ઇઝરાયેલના જેરુસેલમ નજીક ગાઝા વિસ્તારની માઉન્ટ ઓલિવની પર્વતમાળા પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તે સમયના જાણીતા ફોટોગ્રાફર કેપ્ટન વુડહાઉસે આ તસીવર ક્લિક કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:06 am

યુદ્ધની જ્વાળાના લીધે કોમર્શિયલ ગેસનો કકળાટ:કોમર્શિયલ સિલિન્ડરોની અછતથી રેસ્ટોરન્ટ બંધ કરવાં પડે તેવી સ્થિતિ, 1967ના બોટલના કાળા બજારમાં 2500

ઇરાન યુદ્ધને કારણે રાજ્યમાં કોમર્શિયલ ગેસ પુરવઠાને લઈ મર્યાદા મૂકાયા બાદ વેપારીઓમાં ચિંતા ઊભી થઈ છે. શહેરમાં હાલ કેટલીક એજન્સીઓ કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ન હોવાનું જણાવી પુરવઠો આપી રહી નથી. જેને કારણે રૂા.1967નો કોમર્શિયલ સિલિન્ડર કાળાબજારમાં રૂા.2500ના ભાવે વેચાઈ રહ્યો છે. ઉપરાંત ઘરેલુ સિલિન્ડરના બુકિંગ અંગે પણ સમસ્યા સામે આવી છે. જેમાં ઓટીપી ન આવતાં ડિલિવરી ન થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું. કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ન હોવાથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. જેમાં 5 હજારથી વધુ સ્ટ્રીટ વેન્ડરોનો સમાવેશ થાય છે. રેસ્ટોરન્ટ પાસે 1થી વધુ સિલિન્ડર હોય છે. પાઈપલાઈન ન હોવાથી માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ આધાર રાખનારા વેપારીઓને ધંધો ઠપ થવાની ચિંતા પેઠી છે. હોટલ-રેસ્ટોરાંના સભ્યો સરકારમાં રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આઈઓસીએલના 3,66,643 ડોમેસ્ટિક એલપીજીના ગ્રાહકો છે. આઈઓસીએલમાં રોજ 9503 સિલિન્ડરની ડિમાન્ડ હોય છે. જેમાં સોમવારે 7203 ગ્રાહકોને સિલિન્ડર સપ્લાય થઈ શક્યાં છે. જ્યારે 38,233 ડિલિવરી પેન્ડિંગ છે. 3 થી 4 દિવસમાં ડિલિવરી કરાશે. કોમર્શિયલ સિલિન્ડરના વધતા ભાવથી વેપારીઓ પરેશાનહાલ કોમર્શિયલ સિલિન્ડરની અછત છે. કોમર્શિયલ સિલિન્ડર ન મળે તો વેપારીઓને બિઝનેસ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે. કોમર્શિયલ સિલિન્ડરનો રેટ રોજ બદલાઈ રહ્યો છે, જેને કારણે વેપારીઓને તકલીફ પડી રહી છે. સ્થિતિ સારી ન થઈ તો સરકારમાં રજૂઆત કરીશું. ફેબ્રુઆરીમાં સિલિન્ડરનો ભાવ 1800 સુધી હતો. હાલ સિલિન્ડર 2400 થી 2500માં મળે છે. > હેમલ મહેતા, ઉપપ્રમુખ, હોટલ-રેસ્ટોરન્ટ એસો. LGPની અછત નથી પ્રોડક્શન વધાર્યું છેએલપીજીની વધતી જતી ડિમાન્ડને કારણે આઈઓસીએલ દ્વારા પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. હાલ એલપીજીની કોઈ અછત સર્જાઈ નથી. જ્યારે આ તમામ પ્રોડક્શનનો પુરવઠો અમે ગુજરાત સ્ટેટ ઓફિસમાં મોકલી આપીએ છીએ. > બિપ્લોબ બિશ્વાસ,ઈડી, આઈઓસીએલ ભાસ્કર ઇનસાઇડવેપારીએ લેખિતમાં સિલિન્ડર લેવા માટે જાણ કરવી પડશે તેવી સ્થિતિ સર્જાશેરાજ્ય સહિત શહેરમાં કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાઈ છે તેવામાં ઓઈલ કંપનીઓ દ્વારા એજન્સીઓને ઇ-મેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ વેપારી 50, 100 કે 200 સિલિન્ડરો લેતો હોય અને તેને આ જ રેશિયોમાં સિલિન્ડર જોઈતાં હશે તો લેખિતમાં જાણ કરવી પડશે. વેપારી લેખિતમાં સિલિન્ડરોની સંખ્યા એજન્સીને આપશે. ત્યારબાદ ઓઈલ કંપની એજન્સી સાથે વેપારી ખરેખર આ પહેલાં તેટલાં સિલિન્ડર લેતો હતો કે કેમ તેની ખરાઈ કરશે. તે પછી જ વેપારીને તેટલી સંખ્યામાં કોમર્શિયલ સિલિન્ડર અપાશે. જોકે વેપારી નિયમિત સંખ્યાથી વધુ સિલિન્ડરોની માગણી કરશે તો તેને પુરવઠો નહીં મળે. ઘરેલુ ગેસ સિલિન્ડરને લઈને કોઈ પ્રકારની સમસ્યા નથીઆઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારી સાથે બેઠક કરી હતી. ઘરેલુ સિલિન્ડરને લઈ સમસ્યા નથી. કોમર્શિયલ સિલિન્ડરની સ્થિતિ સ્થિર છે. ઓટીપી વગર બોટલ અપાતાં નથી, જેથી કાળાબજારી અટકાવી શકાય. > જી.એન. દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:03 am

વેધર રિપોર્ટ:શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી, 15 કિમી દૂર સિંધરોટમાં 43 ડિગ્રી નોંધાયો

શહેરમાં હીટવેવની આગાહી વચ્ચે મંગળવારે સિઝનમાં પહેલી વખત પારો 41 ડિગ્રી પહોંચી ગયો હતો. મંગળવાર સિઝનનો હોટેસ્ટ ડે રહ્યો હતો. જ્યારે વડોદરાથી 15 કિમી દૂર સિંધરોટમાં પારો સાંજે 4 વાગે 43 ડિગ્રી નોંધાયો હતો. 11મીએ પણ હીટવેવની આગાહી કરાઈ છે. બુધવારે પારો 40 ડિગ્રી રહી શકે છે. શહેરમાં મંગળવારે ભારે ગરમી પડતાં કમાટીબાગ ઝૂમાં પણ પશુ-પંખીઓનાં પાંજરાં પર પાણીનો છંટકાવ કરી તેમને રાહત અપાઈ હતી. વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાં પણ મંગળવારે પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. જ્યારે શહેરમાં ગુરુવારથી પારો 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જોકે માર્ચમાં હજુ બેથી ત્રણ દિવસ સુધી હીટવેવ આવવાની સંભાવના રહેલી છે. શહેરમાં મહત્તમ પારો 41 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 41 ટકા અને સાંજે 10 ટકા નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમથી 8 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. સવારે 10 કલાકે જ પારો 35 ડિગ્રી થયો હતો

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:01 am

70 ટ્રાફિક સિગ્નલ પર બપોર 12થી 4 સડસડાટ નીકળી શકશો:24 સ્થળે ગ્રીન નેટ, ગરમીથી બચવા શું કરવું, શું ન કરવું; તાપમાન 41 ડિગ્રી પહોંચતા AMCનો હીટ એક્શન પ્લાન

માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પહોંચી ગયો છે, ત્યારે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તે માટે હીટ એક્શન પ્લાન અમલમાં લાવવામાં આવ્યો છે. શહેરમાં બપોરે ગરમીમાંથી શહેરીજનોને રાહત મળે તે માટે 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યે બંધ રહશે. CREDAI અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકોને ગરમી ન લાગે તે માટે ટ્રાફિક સિગ્નલ ઉપર CCTV કેમેરા ના નડે તે રીતે ગ્રીન નેટ લગાવશે. શહેરમાં 1,000થી વધુ પાણીની પરબો ઉભી કરાશેઆરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી અને ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરનાં જુદા જુદા ઝોનમાં કામગીરી કરતાં સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એસોસિએશનો સાથે મળીને 350થી વધુ પાણીની પરબો ચાલુ કરવામાં આવી છે અને વધુને વધુ સંસ્થાઓને જોડીને આગામી દિવસોમાં 1,000થી વધુ પાણીની પરબો શહેરમાં ઉભી કરવામાં આવશે. AMTS અને BRTS બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની તેમજ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવાશેજે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લગાવવામાં આવનાર છે. 70 ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રહેશે. શહેરના તમામ બાગ બગીચાઓ સવારે છ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ દરેક બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આંગણવાડી, સ્કૂલ અને સફાઈ કામદારોના સમયમાં ફેરફારશહેરમાં આવેલી તમામ બાંધકામ સાઈટો ઉપર અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1થી 4 કામ બંધ રાખવામાં આવશે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન શ્રમિકોએ બપોરે 1થી 4 દરમિયાન કામગીરી કરવાની રહેશે નહીં. આંગણવાડી, સ્કૂલ તેમજ સફાઈ કામદારોની કામગીરીમાં સમયમાં ફેરફાર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને ચક્કર આવે ઉલટી થાય કે અતિશય માથાનો દુ:ખાવો થાય તો તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:00 am

'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે':ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે?

મકાનની હરાજી કરે તો હું અને મારા છોકરાંઓ રસ્તા પર આવી જઇશું. હું મારા છોકરાંઓને લઇને ક્યાં જઉં? આ શબ્દો છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ત્રાગડમાં સ્વસ્તિક એલિગન્સમાં ફ્લેટ ધરાવતાં વિધવા મહિલા ગીતા રાઠોડના. તેમના આ મકાનની આજે હરાજી થવાની છે. ગીતાબેન લોકોના ઘરમાં રસોઇ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરી ધો.11માં અભ્યાસ કરે છે અને દીકરો ધો.10માં અભ્યાસ કરે છે. દીકરાની પરીક્ષા પણ ચાલે છે. ગીતાબેનના પતિ નરેશ રાઠોડ એમ્બ્યુલન્સ ચલાવતા હતા. 2018માં તેમણે આધાર માસ ફાયનાન્સમાંથી 20 લાખ રૂપિયાની લોન અને 20 લાખ રૂપિયાનો વીમો લીધો હતો. જ્યારે વીમો લીધો ત્યારે તેમને એવું કહેવાયું હતું કે જો નરેશ રાઠોડનું મૃત્યુ થાય તો વીમાની રકમમાંથી લોનની રકમ ભરપાઇ થઇ જશે અને મકાન ગીતાબેનના નામે થઇ જશે. 2020માં કોરોનામાં નરેશ રાઠોડનું મૃત્યુ થયું હતું. નરેશ રાઠોડના મૃત્યુ બાદ જ્યારે ગીતાબેને ક્લેઇમ મૂક્યો ત્યારે ફાઇનાન્સ કંપનીએ તેમને કહ્યું હતું કે તમે કાગળ મૂકો એટલે લોન માફ થઇ જશે. જો કે આ ઘટનાના 14 મહિના પછી તેમનો ક્લેઇમ રિજેક્ટ થયો હતો. જેના પછી ફાયનાન્સ કંપનીએ તેમની પાસેથી હપ્તા વસૂલ્યા હતા. ગ્રાહક કમિશને પતિના મૃત્યુ બાદ લોનની રકમ માફ કરવા અને તેમની પાસેથી વસૂલેલી રકમ 9% ના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જેનાથી નારાજ થઇને ફાયનાન્સ કંપનીએ દિલ્હી સ્થિત નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશન સમક્ષ અપીલ કરી છે. હાલ આ અપીલ પેન્ડિંગ છે તેમ છતાં ફાયનાન્સ કંપની આજે આ મકાનની હરાજી કરી રહી છે. આ અંગે ગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર પણ લખ્યો છે. બીજીતરફ ફાયનાન્સ કંપની દાવો કરી રહી છે કે આ કાર્યવાહી કાયદા પ્રમાણે જ થઇ રહી છે. દિવ્ય ભાસ્કરે આ આખા મામલા અંગે ગીતા રાઠોડ અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ તેમજ આધાર હાઉસિંગ ફાયનાન્સ કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી હતી. પતિના મૃત્યુ પછી 9 લાખ રૂપિયા વસૂલ્યાગીતાબેને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લેઇમ રિજેક્ટ થયા પછી ફાયનાન્સ કંપનીએ અમારી પાસેથી થોડાં-થોડાં હપ્તા વસૂલવાનું ચાલુ કર્યું હતું. અમને કહેતા કે જો તમે હપ્તા નહીં ભરો તો અમે ઘરનો કબજો લઇ લઇશું. દર 2-4 મહિને હપ્તા વસૂલવા આવી જાય અને ઘર પર નોટિસ મોકલી ઘરને સીલ કરી દેવાની ધમકી આપે છે. મારા પતિના મૃત્યુ પછી અંદાજે 9 લાખ રૂપિયા એ લોકોએ અમારી પાસેથી વસૂલ્યા છે. ગ્રાહક ફોરમે શું ચુકાદો આપ્યો તેની વાત પણ ગીતાબેને કહી.તેઓ જણાવે છે કે, મારા પતિ જીવતાં હતા ત્યારે અમે 3 વર્ષ સુધી દર મહિને 21 હજાર રૂપિયાનો હપ્તો ભર્યો હતો. અમે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના સુચિત્રાબેનની મદદ લીધી હતી. તેમણે અમારા વતી ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં એવો ઓર્ડર થયો હતો કે મારા પતિના મૃત્યુ બાદ અમે જેટલી પણ રકમ ભરી છે તે 8% વ્યાજ સાથે પાછી આપવી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યોગીતાબેને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને 9મી માર્ચે લેખિત રજૂઆત કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની વિગતો દર્શાવીને જણાવ્યું છે કે ગ્રાહક કમિશને આપેલા ચુકાદા સામે રિવીઝન પિટિશન પેન્ડિંગ હોય તેવા સમયે ફાયનાન્સ કંપનીનું આવું પગલું કોર્ટની અવમાનના ના ગણી શકાય ? ગ્રાહક સુરક્ષા કમિશનનો ચુકાદા અમારી તરફેણમાં હોવા છતાં પણ સરફેસી એક્ટનો દુરૂપયોગ કરીને અમારી મિલકત પચાવી પાડવાની કોશિષ કરી રહી છે. મારા ઘરને કંઇપણ થશે તો હું અને મારા 2 સંતાનો રોડ પર આવી જઇશું. આધાર હાઉસિંગ ફાયનાન્સની મનમાનીઃ ગીતાબેનગીતાબેને આધાર હાઉસિંગ ફાયનાન્સને પણ ગઇકાલે નોટિસ ફટકારી છે. જેમાં આ હરાજી કાયદા વિરૂદ્ધની અને મન મરજી મુજબની હોવાનું કહ્યું છે. સાથે જ નોટિસ મળ્યાં બાદ હરાજીનું કામ તાત્કાલીક બંધ કરવાની માંગ કરી છે. મોત વ્હાલું કર્યા સિવાય કોઇ રસ્તો નહીં બચેઃ ગીતાબેનગીતાબેને કહ્યું કે, જો આધાર હાઉસિંગ ફાયનાન્સ ગ્રાહક સુરક્ષા કમિશનના ચુકાદાઓને અવગણી પોતાની મરજી મુજબની કાર્યવાહી કરશે તો આ જોતાં ભવિષ્યમાં કોઇ ગ્રાહક સુરક્ષા કમિશનનું પગથિયું નહીં ચડે. સમાજ ઉપયોગી, ગ્રાહકલક્ષી કાનૂનનો કોઇ અર્થ, જરૂરિયાત કે હેતુ નથી. આર્થિક રીતે સંપન્ન ફાયનાન્સ કંપની અન્ય કાયદાની જોગવાઇ તથા આંટીઘૂંટીઓની મદદ લઇ અમને નિરાધાર કરે તો સગીર સંતાનો સાથે રસ્તે રઝળવા કરતાં મોત વ્હાલું કરવા સિવાય બીજો કોઇ રસ્તો બાકી નહીં રહે. તેમણે આધારા ફાયનાન્સ કંપની પર દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો.તેઓ કહે છે કે, મારી ઉપર આધાર માસ ફાયનાન્સ તરફથી આવું પ્રેશર નાંખવામાં આવ્યું છે. અમે આધાર ફાયનાન્સમાં આ અંગે કંઇ વાત કરવા ગયા નથી. કેમ કે અમે જઇએ તો પણ તેઓ કંઇ જવાબ આપતાં જ નથી. તેઓ અમારા ઘરે આવીને નોટિસ ચોંટાડી જાય છે પરંતુ અમે હાથોહાથ રૂબરૂમાં અરજી આપવા જઇએ તો પણ તેઓ સ્વીકારતાં નથી અને કંઇ સાંભળતાં પણ નથી. હજુ સુધી અમને ફોરમના હુકમ મુજબ કોઇ રકમ પણ ચુકવી નથી. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાના સમયે નરેશભાઇ કાર્ડિયાકએરેસ્ટના કારણે મૃત્યુ પામ્યા હતા પણ વીમા કંપનીએ તેમને પોલિસીનો લાભ નહોતો આપ્યો. જેથી ફાયનાન્સ કંપનીએ ગીતાબેન પર પૈસા વસૂલવા દબાણ ઊભું કર્યું હતું. 'અમે ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો. જેમાં ડિસ્ટ્રીક્ટ ફોરમે અમારી તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ડિસ્ટ્રીક્ટે ફોરમે 9 જુલાઇ, 2020થી વ્યાજ સાથે રકમ પાછી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે બંને પક્ષકારોએ કમિશન સમક્ષ અપીલ કરી હતી. સ્ટેટ કમિશને પણ ડિસ્ટ્રીક્ટ ફોરમના હુકમને કાયમ રાખ્યો હતો.' તેમણે હરાજીની પ્રક્રિયાને ફાયનાન્સ કંપનીની દાદાગીરી ગણાવી. તેઓ કહે છે કે, આ હુકમ સામે આધાર ફાયનાન્સે નેશનલ કમિશન સમક્ષ અપીલ દાખલ કરી છે. જ્યાં ફાઇનલ સુનાવણી માટે 13 એપ્રિલની તારીખ નક્કી કરાઇ છે. આવા સમયે ફાયનાન્સ કંપનીએ પોતાની મનમરજી મુજબ દાદાગીરી કરીને હરાજી અંગેની નોટિસ આપી છે. જે ખોટું છે. જ્યારે કેસ ચાલી રહ્યો હોય ત્યારે કોઇ દખલગીરી કરી શકાય નહીં તેમ છતાં ફાયનાન્સ કંપની હરાજીની પ્રક્રિયા કરે તો તે ન્યાય સંગત નથી. જરૂર પડ્યે અમે ફાયનાન્સ કંપનીની આ દાદાગીરીને પડકારીશું. ન્યાય મેળવવા માટે અમારે જ્યાં પણ જવું પડશે ત્યાં જઇશું. મકાનની હરાજી વિરૂદ્ધ સુચિત્રા પાલે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્ટેટ કમિશને હુકમ કર્યો છે અને નેશનલ કમિશનમાં કેસ પડતર છે ત્યારે તેઓ તરફથી જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે અંગે અમે કોર્ટના અનાદરની કાર્યવાહી જરૂરથી કરીશું. તેના માટે અમે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલ (ડીઆરટી )માં પ્રોસેસ કરી છે. પરંતુ અમને હરાજી પહેલાંની તારીખ મળી નથી એટલે તે તારીખ સુધી અમારે રાહ જોવી પડશે ત્યારપછી જ અમે આગળની કાર્યવાહી કરી શકીશું. કાયદા પ્રમાણે જ કાર્યવાહીઃ ફાયનાન્સ કંપનીઆધાર હાઉસિંગ ફાયનાન્સ લિ.ના ઓથોરાઇઝ્ડ ઓફિસર અભિલાષ ઉન્નીથાને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ મેટર કોન્ફિડેન્શિયલ છે એટલે હું કંપનીની કોઇ વાત ન કરી શકું. અમે કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:00 am

કેજરીવાલ ચાલુ સભામાં ક્યાં ગયા?:સ્ટેજ પર ગોપાલભાઈ ગપાટા મારતા દેખાયા, વિધાનસભામાં BJPના ધારાસભ્યે હાસ્યાસ્પદ સવાલ કર્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:00 am

મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો:એક્ટ્રેસ મનીષા કોઇરાલાના સેક્રેટરીની હત્યામાં સંડોવણી, વેશ બદલી રવીના ટંડનના પતિના બારમાં કામ કર્યું

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાંથી ઝડપાયેલા કમલસિંહ નામના આરોપી પાસેથી પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ તેણે મનીષસિંહ પાસેથી ખરીદી હતી. મનીષસિંહ ખૂંખાર ગુનેગાર હતો અને તેની સામે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ગંભીર ગુના નોંધાયેલા હતા. તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. બોટાદમાં થયેલા ડબલ મર્ડર કેસમાં મનીષસિંહ વોન્ટેડ હતો. વર્ષ 2021માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે મનીષસિંહ મુંબઇમાં રહે છે. જેના પછી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું ઓપરેશન મનીષસિંહ. હવે આગળ વાંચો.... ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ અને તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે સબ ઇન્સ્પેક્ટર જે.બી. બુધેલિયાની આગેવાનીમાં હેડ કોન્સ્ટેબલ્સ મહાવીરસિંહ બળવંતસિંહ તથા કિશોર ગઢવીની ટીમ બનાવી અને તેને તપાસ માટે મુંબઇ મોકલી હતી. ટીમે મુંબઇ પહોંચીને ખાનગી રીતે તપાસ કરી હતી. જેમાં મનીષસિંહ નાલાસોપારાના રશ્મિ ગાર્ડન (એવર શાઇન) કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.માં પરિવાર સાથે રહેતો હોવાનું ખૂલ્યું હતું. તેના મકાનમાં કોણ-કોણ રહે છે તેની ઝીણવટભરી જાણકારી પોલીસે મેળવી લીધી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું કે મનીષસિંહ અવાર નવાર અહીં આવે છે. મનીષસિંહનું નેટવર્ક મોટું હતું, તે ખૂંખાર ગુનેગાર હતો વળી પાછું રાજ્ય પણ અલગ (મહારાષ્ટ્ર) હતું એટલે મનીષસિંહને સરળતાથી પકડવો તે ગુજરાત પોલીસ માટે મોટો પડકાર હતો પણ પડકાર ઝીલવો તે જ તો પોલીસનું કામ છે. પોલીસે મનીષસિંહને પકડવાનો પડકાર ઝીલી લીધો. પોલીસની ટીમ મનીષસિંહ વિશે ઘણી બાતમી મેળવીને ગુજરાત પાછી આવતી રહી. અહીં આવીને મનીષસિંહને પકડવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવી લીધો હતો. થોડા દિવસો બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરીથી મુંબઇ પહોંચી હતી. આ વખતે મિશન નક્કી જ હતું કે કોઇપણ ભોગે મનીષસિંહને પકડવાનો છે. પોલીસ બીજી વખત મનીષસિંહને પકડવા માટે ગઇ ત્યારે તેની પાસે મનીષસિંહનો સીસીટીવી કેમેરામાં દેખાતો ચહેરો જ હતો. આ ચહેરો પણ અસ્પષ્ટ હતો જેથી મનીષસિંહને ઓળખવો પણ શક્ય નહોતો. પોલીસ પાસે મનીષસિંહનો સ્પષ્ટ અવાજ હતો. મનીષસિંહ અને તેના પરિવારને ચકમો દેવા પોલીસે એક નવી જ યુક્તિ વાપરી. પોલીસે મનીષસિંહનો પરિવાર જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીનો સંપર્ક કર્યો અને કોન્સ્ટેબલ કિશોર ગઢવીએ તેમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી સ્વીકારી લીધી. કિશોર ગઢવીની સિક્યોરિટી ગાર્ડ તરીકેની ડ્યૂટી પણ મનીષસિંહ જ્યાં રહેતો હતો તે સોસાયટીમાં જ અપાઇ. કિશોર ગઢવીએ વીસેક દિવસ સુધી અહીં નોકરી કરી હતી. આ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ કિશોર ગઢવીના સતત સંપર્કમાં હતા. કિશોર ગઢવીએ સોસાયટીના રહીશો સાથે સારો ઘરોબો કેળવી લીધો હતો. આવતાં-જતાં દરેકના ખબર પૂછવા અને તેમની સાથે વાતચીત કરવી એ કિશોર ગઢવીનો નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ કિશોર ગઢવીને ખબર પડી કે મનીષસિંહના ઘરે શ્રાદ્ધ છે એટલે તે આવવાનો છે. આ ખબર પડતાં જ પોલીસ એલર્ટ થઇ ગઇ. જે દિવસે શ્રાદ્ધ હતું તે દિવસે મનીષસિંહ ઘરે આવ્યો હતો ત્યારે સિક્યોરિટીના ડ્રેસમાં રહેલા કિશોર ગઢવીએ તેને રોક્યો હતો. કિશોર ગઢવીઃ ક્યાં જવું છે?મનીષસિંહઃ હું અહીં જ રહું છું. મારે ઘરે જવું છે. કિશોર ગઢવીએ તેને બીજા પણ અમુક પ્રશ્નો પૂછ્યા. જેથી કરીને તેનો અવાજ ઓળખી શકાય. વાતચીત દરમિયાન ખબર પડી ગઇ કે આ જ મનીષસિંહ છે. જેથી મનીષસિંહ પોતાના ઘરે ગયો ત્યારે કિશોર ગઢવીએ અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરી દીધી હતી. થોડી જ વારમાં ગુજરાત પોલીસની ટીમ સાદા વેશમાં ખાનગી કાર સાથે એ સોસાયટીમાં પહોંચી ગઇ. અહીં પોલીસના જવાનો ગેટની બહાર ગોઠવાઇ ગયા હતા અને મનીષસિંહ નીચે ઉતરે તેની રાહ જોઇ રહ્યાં હતા. પોલીસ જે આરોપીને વર્ષોથી શોધતી હતી તે હવે હાથવેંતમાં હતો. થોડીવારમાં મનીષસિંહ શ્રાદ્ધની વિધિ પતાવીને ખભે લૂંગી લટકાવીને નીચે ઉતરી રહ્યો હતો. પોલીસે મનીષસિંહે ખભે લટકાવેલી લૂંગી જ તેના મોંઢા પર નાખીને ચિત્તાની ઝડપે તેના એક હાથમાં હાથકડી પહેરાવી દીધી અને હાથકડીના બીજા ભાગને કારના હેન્ડલ સાથે બાંધી દીધો. જેથી મનીષસિંહ ભાગી ન શકે. મનીષસિંહે છુટવા માટે ઘણું જોર કર્યું પણ તેના દરેક પ્રયત્ન નિષ્ફળ રહ્યાં. પોલીસે હાથકડીની ચાવી પણ ગાયબ કરી દીધી હતી જેથી કોઇ કંઇ કરી ન શકે. આ તરફ મનીષસિંહની પત્નીને જાણ થઇ ગઇ કે તેનો પતિ પોલીસની પકડમાં આવી ગયો છે એટલે તેણે પતિને છોડાવવા માટે ભારે બૂમાબૂમ કરી મૂકી. રસ્તા વચ્ચે કોઇ મહિલા આ રીતે બૂમાબૂમ કરે એટલે લોકોના ટોળાં વળી જાય તે સ્વભાવિક છે. સોસાયટી બહાર પણ એવું જ થયું. અહીં લોકોનાં ટોળાં ભેગા થઇ ગયા હતા વળી ગુજરાત પોલીસની ટીમ સાદા ડ્રેસમાં હતી અને કાર પણ ખાનગી હતી એટલે પરિસ્થિતિ વધારે વણસે તેમ હતી. અધૂરામાં પૂરૂં મનીષસિંહના સાગરિતો પણ તેને છોડાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. અહીં ટોળાં અને ગુજરાત પોલીસ વચ્ચે બોલાચાલી થઇ. પોલીસે પોતાની ઓળખ પણ આપી. સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં ગુજરાત પોલીસે મુંબઇ પોલીસને જાણ કરી દીધી અને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. આના પછી ગુજરાત પોલીસ મનીષસિંહને લઇને મુંબઇ પોલીસની સાથે ગઇ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને બાય રોડ અમદાવાદ લઇ આવી હતી. અમદાવાદ લાવીને પોલીસે મનીષસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુની કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં તેની પાસે બીજા હથિયારો હોવાનો પણ પર્દાફાશ થયો હતો. જેથી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, કિશોર ગઢવી, વિક્રમભાઇ સાજણભાઇ અને તેમની ટીમ 5 ઓક્ટોબર, 2021ની સાંજે મનીષસિંહને સાથે રાખીને અમદાવાદની સાબરમતી રેલવે કોલોનીના બ્લોક નં.821ના ત્રીજા માળે પહોંચી હતી. અહીં આવેલા એક મકાનમાં તપાસ કરતાં બાથરૂમના માળિયામાંથી એક કાળા કલરનો થેલો મળ્યો હતો. જેમાં દેશી બનાવટની એક પિસ્તોલ, એક રિવોલ્વર, બે મેગઝીન અને 190 જીવતાં કારતૂસ મળી આવ્યાં હતા. જેને કબજે લઇને મનીષસિંહ સામે વધુ એક ગુનો નોંધ્યો હતો. મનીષસિંહની પૂછપરછ દરમિયાન ખળભળાટ મચાવનારા ખુલાસા થવાના હતા. તે સામાન્ય પરિવારમાં જન્મ્યો હતો.ભણવાના સમયે તે ગુનેગારો સાથે રહીને ગુના આચરવા લાગ્યો હતો. તેણે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી ઉઘરાવવા સહિતના અનેક ગુનાઓ આચર્યા હતા. તે ખંડણી માગે અને જો કોઇ ન આપે તો તેની હત્યા કરી દેતો. એકલા વારાણસીના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં મનીષસિંહ સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. જેથી વારાણસી પોલીસે તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. મનીષસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો પણ તેણે રાજ્ય પ્રમાણે પોતાના નામ રાખ્યા હતા. તે ઉત્તર પ્રદેશમાં મનીષસિંહ જગતનારાયણસિંહના નામથી કુખ્યાત હતો. જ્યારે મહારાષ્ટ્રમાં તેણે રાજુ જગમોહનસિંહ નામ ધારણ કર્યું હતું. ગુજરાતમાં તે શિવલાલ ચતુરલાલ શર્માના નામે ચાંદખેડામાં વિસત પેટ્રોલ પંપ સામે આવેલી સેવંતીલાલની ચાલીમાં રહેતો હોવાનું પોલીસને જુદા-જુદા રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું. બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાના સેક્રેટરી અજિત દેવાણીની 30 જૂન, 2001ના રોજ મુંબઇમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. આ ગુનામાં મનીષસિંહ અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની સંડોવણી સામે આવી હતી. આ ઘટના પછી ગુનાખોરીની દુનિયામાં મનીષસિંહની મનીષસિંહ જંસા તરીકેની ઓળખ બની હતી. ગુનાખોરીની દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મનીષસિંહે 2007માં વારાણસીમાં મુન્નાગીરી અને બ્રજેશ મિશ્રા નામના 2 શખસો પર જાહેરમાં 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેણે સિમ્સ હોટલ મેનેજમેન્ટના ભાગીદાર અશોક તલરેજા પાસેથી ડાયરેક્ટર આર.કે.સિંહની હત્યાની સોપારી લઇને તેના પર ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાખી હતી. બીજા ગુનાઓમાં જ્યારે તેની ધરપકડ કરીને ઉત્તર પ્રદેશમાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો ત્યારે તે જૂન-2009માં પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. આના પછી તેણે મુંબઇ આવીને બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનના પતિના બારમાં દોઢ વર્ષ સુધી કામ કર્યું હોવાનું પણ પોલીસના ચોપડામાં નોંધાયેલું છે. મનીષસિંહે મુંબઇના શાંતાક્રૂઝ વાકોલા પોલીસ વિસ્તારમાં આવેલા એક બારના માલિક ક્રિષ્ના શેટ્ટી પાસે ખંડણી માગી હતી. તેણે ના પાડતાં બારની બહાર જ તેના પર ફાયરિંગ કર્યું હતું. 2012માં આર.કે.સિંહના ખૂનની સોપારી આપનાર અશોક તલરેજા ઉપર તેના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. આ જ દિવસે તેણે રોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાતલાબ બજારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી હરિનાથ પટેલ પાસેથી 25 લાખની ખંડણી માગી હતી. વેપારીએ ખંડણી ન આપતા તેની દુકાન બહાર જ જાહેરમાં ગોળી મારીને તેની હત્યા કરી નાખી હતી. 2014માં જ વડગામમાં નોંધાયેલા એક ગુનામાં ખૂલ્યું હતું કે મનીષસિંહે આરોપી રાજન બારડને પિસ્તોલ અને કારતૂસ આપ્યા હતા. 2015માં વારાણસીમાં લક્ષ્મી મેડિકલ એન્ડ સર્જિકલ હોસ્પિટલ ધરાવતાં ડો. અશોક રાયને ફોન કરીને 50 લાખની ખંડણી માંગી હતી. ડૉક્ટરે ખંડણી ના આપતાં તેના પર ફાયરિંગ કર્યું હતું. આવા અનેક ગુનાઓ મનીષસિંહ પર નોંધાયેલા છે. ગુજરાત પોલીસે મનીષસિંહની ધરપકડ કરી હોવાની જાણ થતાં યુપી અને મહારાષ્ટ્ર પોલીસ તેની પૂછપરછ કરવા અમદાવાદ આવી હતી. વર્ષ 2023માં મનીષસિંહ પેરોલ પર છૂટીને ફરાર થઇ ગયો છે. જેથી પોલીસ ફરીવાર તેને શોધી રહી છે. મુંબઇ જઇને મનીષસિંહને પકડવા બદલ અમદાવાદના પોલીસ કમિશનર તરફથી ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કિશોર ગઢવીનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયું હતું. મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 6:00 am

નિઝામપુરાની રેસ્ટોરન્ટમાં ગાયનેકના પરિવારને વરવો અનુભવ:રેસ્ટોરન્ટની લિફ્ટમાં તબીબનો પરિવાર ફસાયો, સ્ટાફે કહ્યું,તમે રૂા.50 હજારનું નુકસાન કરાવ્યું

નિઝામપુરાની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગાયનેક તબીબ અને તેમના પરિવારને રેસ્ટોરન્ટના સ્ટાફ અને લિફ્ટનો વરવો અનુભવ થયો હતો. રેસ્ટોરન્ટની લિફ્ટમાં એક માસના શિશુ-વૃદ્ધ સહિત 3 લોકો ફસાયાં હતાં. આ અંગે જાણ કરાતાં પહોંચેલા ફાયરબ્રિગેડે પરિવારને લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો. જોકે તે પછી રેસ્ટોન્ટના સ્ટાફે અણછાજતું વર્તન કર્યાનો આક્ષેપ તબીબે કર્યો હતો. મકરપુરામાં રહેતા ગાયનેક તબીબ તેમનાં પત્ની, પુત્રવધૂ અને પૌત્ર સાથે નિઝામપુરા 3 રસ્તા પાસેની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તબીબ લિફ્ટની બહાર હતા અને અન્ય 3 લિફ્ટમાં નીચે ઊતરી રહ્યાં હતાં. આ સમયે પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે લિફ્ટ ખોટકાઇ ગઇ હતી. લિફ્ટમાં કોઇ ઇમર્જન્સી ફોન નંબર ન હતા, અંધારું છવાયું હતું અને પંખો બંધ હતો. બીજી તરફ એક માસનું બાળક પણ સાથે હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. તેમણે ટેલિફોનિક જાણ લિફ્ટ બહાર ઊભેલા તબીબને કરી હતી. દરમિયાન હોટેલને જાણ થતાં લિફ્ટની ચાવી શોધવા દોડાદોડ કરી મૂકી હતી, પણ ચાવી મળી ન હતી. છેવટે 15 મિનિટ સુધી ચાવી ન મળતાં તબીબે આખરે ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. ફાયરબ્રિગેડે 10 મિનિટમાં પહોંચીને ગણતરીની મિનિટોમાં જ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તબીબે આ અંગે જણાવ્યું કે, પરિવારજનોના બહાર નીકળ્યા બાદ હોટેલના 2 કર્મચારીઓએ અમને કહ્યું કે, તમે અમારું 50 હજારનું નુકસાન કરાવ્યું છે. જોકે અમારા પરિવારજનોને પડેલી હાલાકી માટે સોરી સુધ્ધાં કહેવાનું સૌજન્ય દાખવ્યું ન હતું. અમે જમવાના મધુરા વિચાર સાથે ગયા હતા, પણ અમને આ વરવો અનુભવ થયો હતો. વીજ પ્રવાહ અચાનક વધી કે ઘટી જાય ત્યારે લિફ્ટનું મધરકાર્ડ બગડતાં આવી સ્થિતિ સર્જાયજો વીજ પ્રવાહમાં અચાનક વધારો કે ઘટાડો જાય ત્યારે લિફ્ટમાં જે મધરકાર્ડ હોય છે તે બગડી જાય છે, જેને કારણે લિફ્ટ ખોટકાય છે. ઉનાળામાં એસી મોટી સંખ્યામાં ચાલતાં હોવાથી આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે. > પિયૂષ પટેલ, લિફ્ટ તજ્જ્ઞ રહેણાક કે કોમર્શિયલ લિફ્ટના વીજ પ્રવાહને સંતુલિત રાખવા સ્ટેબિલાઇઝર નાખવું હિતાવહવીજ પ્રવાહમાં આવતી વધ-ઘટને પહોંચી વળવા માટે લિફ્ટમાં સ્ટેબિલાઇઝર નાખી શકાય. આ સ્ટેબિલાઇઝરની કિંમત રૂા.40 હજારથી 50 હજારની હોય છે. 3થી 6 વ્યક્તિની ક્ષમતાની લિફ્ટમાં પણ એક જ પ્રકારની વપરાય છે. હોસ્પિટલો, રેસ્ટોરન્ટ્સ જ નહીં મોટાં રહેણાક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ સામૂહિક રીતે આ વ્યવસ્થા થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:58 am

સિટી એન્કર:મહિલાઓ કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરે તે અયોગ્ય, કેટલીક મહિલાને કારણે સમાજમાં અફવાઓ ફેલાય છે: વિજયા રહાટકર

રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વડોદરામાં મહા જન સુનાવણીનું આયોજન કરાયું હતું. જેમાં આયોગનાં અધ્યક્ષે 15 મહિલાની વાતો સાંભળી 12 કેસમાં તાત્કાલિક સમાધાન કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષા વિજયા રહાટકરે કહ્યું કે, કાયદાનો ઉપયોગ યોગ્ય કરવો જોઈએ. કોઈ મહિલા કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરે તો તે યોગ્ય નથી. તેના કારણે સમાજમાં અફવા ફેલાય છે કે, મહિલાઓ કાયદાનો ખોટો ઉપયોગ કરી રહી છે. શહેર-જિલ્લાના 15 કેસ સાંભળ્યા હતા, જેમાંથી 12નો નિકાલ કરાયો હતો. 2 કેસ આગળની કાર્યવાહી માટે મોકલ્યા છે. તેમણે કહ્યું કે, ઘણી મહિલા સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી ‘આયોગ આપને દ્વાર’ અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહા જન સુનાવણીનું આયોજન કરાયું છે. એક વર્ષમાં 100 જેટલી સુનાવણી થઈ છે. આ અઠવાડિયામાં વિવિધ જિલ્લામાં 500 સુનાવણી પૂર્ણ કરવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ બપોર બાદ પોલીસ ભવનમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેસ - 1 : મિલકત મુદ્દે ભાઈ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચનગોત્રી વિસ્તારમાં ભાઈ-બહેને મિલકતને લઈને સામસામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. જોકે વૃદ્ધાએ મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી તેઓને જન સુનવણીમાં બોલાવવામાં આવ્યાં હતાં. તેઓએ જણાવ્યું કે, તેમનો ભાઈ તેમને પરેશાન કરે છે. જેથી મહિલા આયોગે પોલીસને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. કેસ - 2 : વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરનાર ડ્રાઈવર પાસે માફી મગાવીસયાજીગંજ પોલીસ મથકમાં વૃદ્ધાએ પોતાની કારના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાએ મહિલા આયોગમાં પણ ફરિયાદ કરી હતી કે, ડ્રાઈવરે મારી સાથે ગેરવર્તણૂક કરી છે. જેથી મહિલા આયોગે વૃદ્ધાને સાંભળ્યાં હતાં. વૃદ્ધાની માગ હતી કે, ડ્રાઈવર મારી માફી માગી લે. જેથી ડ્રાઈવરે વૃદ્ધાની માફી માગી હતી. જે બાદ મહિલા આયોગે કેસ બંધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:54 am

સામસામા હથિયારો ઊડતા અફરાતફરી સર્જાઇ:વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, ચારને ઇજા

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં ગત મોડી રાત્રે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી. લાકડીઓ, પાઈપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે બંને પક્ષો સામસામે આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જેમાં એક જૂથના ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પોલીસ સ્ટાફ દોડી ગયા હતા. હાલ આ બનાવમાં બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ફરીયાદી સંજયભાઈ રાણાભાઈ ખાંડેખાએ વાંકાનેર સિટી પોલીસમાં છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તથા આરોપી હરપાલસિંહને અગાઉ સાત-આઠ મહિના પહેલાં વાહન લે-વેચના પૈસા બાબતે મારામારી થઇ હોય, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ કારમાં ભાટીયા સોસાયટીના ચોકમાં આવી બેફામ ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી હરેશભાઇને ઇજા કરી તેમજ કાર હેઠળ કચડી નાખવાના ઇરાદે નીકળ્યા હતા. તે ઘટનાંમાં ચારને ઇજા થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલાએ આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાના દિકરા હરપાલસિંહને અગાઉ આરોપી સાથે માથાકુટ થઇ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની કાર પર હુમલો કરી આગળ-પાછળના બન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી હુમલો કર્યો હતો. જેથી હાલ આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોડી રાત્રે ભાટિયા સોસાયટીમાં છૂટા હાથની મારામારી ધોકા પાઇપ તથા છરી જેવા હથિયારોથી બને જૂથો એકબીજા ઉપર તુટી પડ્યા હતા ત્યારે સ્થાનિકો ભયભીત બની ગયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:48 am

સામાન્ય સભા યોજાઈ:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું માત્ર 4-5 મિનિટમાં જ સમાપન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાલની ચૂંટાયેલી બોડીની આગામી 16 માર્ચના રોજ ટર્મ પૂર્ણ થતી હોય અને ટર્મ પૂર્ણ થતા બોડીનું વિસર્જન તેમજ તેમના સ્થાને વહીવટદારની નિમણૂક થવાની શક્યતા છે. આગામી દિવસમાં વહીવટદાર સમક્ષ વિકાસ કામ મંજૂરી માટે લઈ જવા ન પડે તે માટે ગત ત્રણ માર્ચના રોજ જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભા મળી તેના માત્ર સાત દિવસમાં જ ફરી એકવાર મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા અલગ અલગ વિકાસ કામોની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી તેમજ હેતુ ફેરની કામગીરીને મંજૂરી માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પ્રમુખ હંસાબેન ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા ઉપરાંત ભાજપના માત્ર 11 સભ્ય જ્યારે કોંગ્રેસના માત્ર 2 સભ્યો જ હાજર રહ્યા હતા. જો કે આ સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ થઈ ગઇ હતી. ડે. ડીડીઓને નવું વાહન મળશેઆ ખાસ સભામાં અગાઉના બજેટની મંજૂરી સભાની કાર્યવાહી નોંધ અને બહાલી ઉપરાંત ખાસ એજન્ડામાં હેતુફેરના રૂપિયા 22 લાખના કામોને મંજૂરી આપવા તેમજ રૂપિયા એક કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને 1.92 કરોડના કામને વહીવટી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા જેને પણ બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત ના ડેપ્યુટી ડીડીઓના ઉપયોગમાં લેવાતું જૂનું વાહન 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી હોય જેથી તેનું આયુષ્ય પૂર્ણ થતા તેના સ્થાને નવું વાહન ખરીદવાને પણ સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:43 am

કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપા એક્શન મોડમાં:મોરબીમાં 10 હજારથી વધુ‎વેરા બાકીદારોના નળ, ગટર જોડાણ કપાશે‎

માર્ચ એન્ડીગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મોરબી મનપાની વેરા વસુલાત શાખાએ હવે કરવેરો ભરવામાં ઉદાસીન આસામી પાસેથી વેરો વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોપર્ટી ટેક્સ બાકી હોય તેવા તમામ મિલકત ધારકોને 31 માર્ચ પહેલા કરવેરો ભરવા ફરમાન જારી કરી દીધું છે. નહિતર કરવેરા ઉપર 18 ટકા વ્યાજ ભરવા તૈયાર રહેવાની કડક ચેતવણી આપી છે અને મિલકત વેરાના બાકીદારો પાસેથી વેરો વસૂલવા માટે મિલકત વેરા શાખા દ્વારા બાકીદારોને વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી આગામી 31 માર્ચ સુધી સઘન બનાવવામાં આવી છે. જો આ સમય દરમિયાન વેરો નહીં ભરાય તો બાકી રકમ માથે 18 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. ઉપરાંત રહેણાંક મિલકતનો રૂ.10 હજારથી વધુ ટેક્સ બાકી હોય તેમને રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા વોરંટ આપ્યા બાદ પણ જો મિલકત ધારક વેરો ભરપાઈ નહિ કરે તો તેના રહેણાંકના નળ અને ડ્રેનેજ એટલે ભુર્ગભ ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરી છે.઼ ક્લસ્ટર ઓફિસોમાં સવારના 10:30થી સાંજના 4 વેરો ભરી શકાશે‎ રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશે‎માર્ચ એન્ડિંગ નજીક હોવાથી લોકો 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરી શકે અને વેરો ન ભરવા બદલ આકરી કાર્યવાહીથી બચી શકે તેવી મનપાએ વ્યવસ્થા ગોઠવો છે. નાગરિકોને સરળતા રહે તે માટે રજાના દિવસોમાં પણ કાઉન્ટર ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. આથી 31 માર્ચ સુધી દર શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ચાલુ રહેશે અને લોકો આ સ્થળોએ વેરો ભરી શકશે.મનપાની મુખ્ય ઓફિસમાં સવારે 10-30થી સાંજે 5 કલાક સુધી પ્રોપર્ટી અને વ્યવસાય વેરો ભરી શકશે. રૂમ નં-9માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:42 am

3 દિવસ હીટવેવની આગાહી:માર્ચમાં જ થર્મોમીટર 43 ડિગ્રીનો આંક બતાવશે‎

રાજ્યભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની શરૂઆત વહેલી અને નવા રેકોર્ડ તોડવા સાથે થઇ રહી છે. ગત વર્ષે જે માહોલ માર્ચના અંતિમ સપ્તાહમાં જોવા મળતો હતો તેવું વાતાવરણ મહિનાની શરૂઆતથી જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લામાં લઘુતમ તાપમાન સવારે ભલે 19 ડિગ્રી હોય તે પારો બપોર સુધીમાં સડસડાટ 35 સુધી પહોંચી જતાં લોકો ફાગણમાં જ ચૈત્ર જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે જે 17 જિલ્લા માટે હીટવેવની આગાહી કરી છે તેમાં મોરબીનો પણ સમાવેશ છે. આગામી ત્રણ દિવસમાં તાપમાન 43 પર પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 11 માર્ચથી 15 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રી વચ્ચે રહેશે. આટલું કરવું, અને આટલું ન કરવું હવામાન વિભાગની આગાહીના પગલે આરોગ્ય વિભાગે લોકો માટે લૂથી બચવા ખાસ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં લૂથી બચવા લોકોને બપોરના સમયે બિન જરૂરી બહાર ન નીકળવા,તડકામાં વધુ પડતો શ્રમ ટાળવા, બહાર નીકળતી વખતે માથું ઢાંકવા, સુતરાઉ કાપડ પહેરવા, ઘરેથી નીકળતા પહેલાં જ વધુ પાણી પીવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બહારથી આવીને તુરત ઠંડુ પાણી પીવાના બદલે થોડો સમય શરીર ઠંડુ પડ્યા બાદ પાણી પીવાનો આગ્રહ રાખવા જિલ્લા એપેડમિક ઓફિસર ડો.ડી.વી.બાવરવાએ જણાવ્યું હતું. પાણી વિતરણ વ્યવસ્થા કાર્યક્ષમ‎બનાવવા તંત્રની તાકીદની બેઠક મળી‎મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગામડામાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરીનું કામ મોરબીના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરએ રણકાંઠાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તેવી સૂચના આપી હતી.ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ બાબતે સમીક્ષા કરી હતી સ્વૈચ્છિક લોકડાઉન રાજકોટ જિલ્લાના મોટા ભાગના શહેરો અને ગામડાંઓમાં 41 ડિગ્રી તાપ અનુભવાતાં બપોરના સમયે જાણે સ્વૈચ્છિક લોકડાઉન લદાયું હોય તેવી હાલત બની હતી.લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું અને શેરી ગલીઓ સુમસામ ભાસતી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:39 am

મહિલા જાગૃતિ:મોરબીમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી વ્યાવસાયિક માહિતી આપી 70 મહિલાને આર્થિક પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા

મોરબી મનપા દ્વારા પ્રથમ વખત વિશ્વ મહિલા દિનની ઉજવણી માટે 1 માર્ચથી 8 માર્ચ સુધી લગાતાર નારી ઉત્થાનને વેગ આપતા અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારી માટે મહિલાઓમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મનપાની અર્બન કોમ્યુનિટી ડેવલમેન્ટ શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી વ્યાવસાયિક જ્ઞાન આપી 70 મહિલાને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવાયા હતા, એટલું જ નહીં, તેમને જ્યારે પણ વિશેષ માર્ગદર્શનની જરૂર પડે ત્યારે તમામ માહિતી અને માર્ગદર્શન આપવાની પણ તંત્રે તૈયારી બતાવી હતી. મોરબી મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનીટી ડેવલોપમેન્ટ વિભાગના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અલગ જ રીતે કરવામાં આવી હતી. ડે. એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સામાજિક અને સંસ્થાકીય વિકાસ ઘટક અંતર્ગત રચાયેલા સખી મંડળની બહેનોને વાસ્તવિક અર્થમાં સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્યાવસાયિક મહિલાઓને સરકારી‎યોજનાઓ અંગે જાણકારી અપાઇ‎મહિલાઓને રોજગારી પુરી પાડવા, વ્યવસાય કરતી મહિલાઓ માટે ઉપયોગી થતી અને આર્થિક રીતે મદદરૂપ થતી વિવિધ સરકારી યોજનાઓ, બચત કાર્ડ, આરોગ્ય વિશે જાગૃતિ અને માર્ગદર્શન, મહિલાઓના અધિકારો વિષે ચર્ચા તથા ઘરેબેઠા કામગીરી દ્વારા આવક કઇ રીતે વધારી શકાય તે માટે ડેમો સહિતના મહત્વના મુદ્દાઓ વિષે 70 જેટલા મહિલાને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથોસાથે તેઓને સ્વાવલંબી બનાવાના દ્રઢ સંકલ્પ સાથે લાઈવ ડેમો અને હેલ્થ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:36 am

મહિલાના પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું:ધ્રાંગધ્રા કુડા ચોકડીએ ટ્રક, બાઈક વચ્ચે અકસ્માત દંપતીને ઈજા

ધ્રાંગધ્રા ફોરલેન હાઈવે પર કુડા ચોકડી પાસે અવાર નવાર ગંભીર અકસ્માતના બનાવ બને છે. ત્યારે મીઠું ભરેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતા નરાળી ગામના દંપતીને ઈજા થઇ હતી. જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા દવાખાના સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા-કુડા ચોકડી પાસે ગંભીર અકસ્માતના બનાવો વારંવાર બને છે. માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપી વાહનો નીકળે છે. અને ગંભીર અકસ્માત સર્જે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભોપાભાઈ પાટડિયા અને તેમના પત્ની લીલાબેન પાટડી બાઈક પર નારાળીથી ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા મીઠું ભરેલા ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા બન્ને નીચે પડી અકસ્માતમાં લીલાબેન પાટડિયાના પગ પર ટ્રકનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ભોપાભાઈ પાટડિયાને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત લીલાબેનન અને ભોપાભાઈને તાત્કાલિક 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. લીલાબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે હોસ્પિટલમાં લઇ જવાયા આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:33 am

સેવા સેતુ સાર્થક થયું:વઢવાણના નગરામાં સેવા સેતુ કાર્યક્રમમાં વૃદ્ધાની અરજી થતા જ પેન્શન પ્રક્રિયા શરૂ કરાઈ

વઢવાણ તાલુકાના નગરા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ હતો. જેમાં રજૂઆત બાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલાની પેન્શન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વઢવાણ તાલુકાના નગરા સેવા સેતુ કાર્યક્રમ હતો. આ દરમિયાન નગરા ગામના સરપંચ દ્વારા એક વૃદ્ધ મહિલાની સમસ્યા અંગે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. માહિતી મુજબ નગરા ગામની આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાના લગ્ન ફૂલગ્રામ ગામમાં થયા હતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પોતાના પતિથી અલગ રહી છેલ્લા 35 વર્ષથી નગરા ગામમાં પોતાના માતા-પિતા પાસે રહેતા હતા. આ પરિસ્થિતિને કારણે તેમને વૃદ્ધ પેન્શનનો લાભ મળતો નહોતો. સરપંચ દ્વારા રજૂઆત થતાં વઢવાણ મામલતદાર આર.કે. પંચાલ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. જેમાં નિયમ મુજબ કાર્યવાહી કરી તેમની વૃદ્ધ પેન્શન શરૂ થઈ શકે તે માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આથી વઢવાણ તાલુકાના નગરા વૃદ્ધ મહિલાપેરમબેન અને કનુબેને સરકાર, વઢવાણ પ્રાંત કચેરી તથા વઢવાણ મામલતદારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:31 am

PGVCLની 39 ટીમનું વીજ ચેકિંગ‎:એક જ દિવસમાં 96 વીજ જોડાણોમાં‎ચોરી ઝડપાઈ રૂ. 32.52 લાખનો દંડ‎

પીજીવીસીએલ, સુરેન્દ્રનગર તરફથી મળતી માહિતી અનુસાર અધિક્ષક ઇજનેર, સુરેન્દ્રનગર એન.એન. અમીનની રાહબરી હેઠળ પીજીવીસીએલની 39 ટીમ સાથે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના થાન, ચાણપર, ચોટીલા, ખેરાણા, મઘરીખડા, મોઢવણા, નાના અંકેવાળીયા, પીયાવા, સુજાનગઢ વિસ્તારમાં વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે માટે 13 એસઆરપીના જવાનો તથા 14 પોલીસ સ્ટાફ દ્વારા પ્રોટેકશન આપવામાં આવેલા હતા. તેમજ 4 વીડીયોગ્રાફર મુકવામાં આવ્યા હતા. કુલ 497 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ઘર વપરાશના 96 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડવામાં આવી હતી. આ પૈકીના વીજ જોડાણો વગરના કુલ 63 વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા હતા. આ તમામને રૂ. 32.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ જોડાણો કોઈ પણ શરમ વગર કાપી નંખાશેકંપની ગ્રાહકોને અવિરત વીજળી આપવા કટિબદ્ધ છે. પરંતુ તેની સામે ગ્રાહકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સમયસર વીજ બિલની ચુકવણી કરવી જોઈએ. જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાંખવામાં આવશે. ગ્રાહકોને અપીલ છે કે તેઓ વીજ વિક્ષેપથી બચવા વહેલી તકે પોતાના બાકી લેણાં ઓનલાઈન અથવા નજીકની પેટા વિભાગીય કચેરીએ જઈને ભરી દે. - એન.એન અમીન, અધિક્ષક ઈજનેર 110 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નંખાયાસુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.10-3એ કુલ 225 ટીમ દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરાઈ હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 110 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાંખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ.12.04 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 3560 ગ્રાહકો પાસેથી રૂ.140 લાખની વસૂલાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:30 am

હળવદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદન‎:વિકાસના નામે દબાણ દૂર કરાતા રોજનું કમાતા મધ્યમ વર્ગના ધંધાર્થીઓમાં ચિંતા

હળવદ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદન આપીને રામધૂન બોલાવી હતી અને રજૂઆત કરી હતી. હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના નામે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની ચર્ચાઓ વચ્ચે નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ અંગે હળવદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના સદસ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાળા દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના વિકાસ માટે ગેરકાયદે દબાણ દૂર કરવું જરૂરી છે, પરંતુ તે કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ મુજબ અને તમામ વર્ગો સામે સમાન રીતે થવી જોઈએ. ખાસ કરીને નાના લારી-ગલ્લાવાળા વેપારીઓ, જેઓ રોજિંદી આવક પરથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની આજીવિકા ઉપર અયોગ્ય અસર ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીબેન દોરાળાએ જણાવ્યું હતું કે ભારત સરકારના નિયમ મુજબ રસ્તા ઉપર વ્યવસાય કરતા નાના વેપારીઓ માટે વેન્ડિંગ ઝોન નિર્ધારિત કરવું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ફરજ છે. તે ઉપરાંત નિયમ અનુસાર નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી તમામ કાર્યવાહી નિષ્પક્ષ, પારદર્શક અને ભેદભાવ રહિત હોવી આવશ્યક છે. શહેરમાં ઘણીવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર નાના વેપારીઓ સામે જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે પ્રભાવશાળી અથવા આર્થિક રીતે સશક્ત લોકો દ્વારા કરાયેલા દબાણો સામે સમાન કડકાઈ દાખવવામાં આવતી નથી તેવી મૌખિક ફરિયાદો પ્રજામાંથી મળતી રહે છે. આવી સ્થિતિ સામાન્ય નાગરિકોમાં અસંતોષ ઊભો કરે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:29 am

માલવણ-પાટડી હાઈવે પર દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ‎:રૂ. 28.73 લાખની 7284 દારૂની બોટલ સહિત રૂ. 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-પાટડી હાઈવે પરથી પોલીસે ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈસર ટ્રકમાંથી રૂ. 28.73 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 38.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજા, પીએસઆઈ જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ. રાયમાનાઓએ તેમની ટીમો સાથે હાઈવે રોડ પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલવણ-પાટડી હાઈવે પર ફાટક પાસે આવેલી એક બંધ હોટલ નજીકથી એક આઈસર ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ટ્રકની તલાશી લેતા, તેમાં ઘાસચારાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 28,73,520 આંકવામાં આવી છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 10,00,000ની કિંમતની આઈસર ટ્રક અને રૂ. 5,000નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ. 38,78,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પોકરારામ કાનારામ જાટ રહે. ડીંડાવા, બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડી, બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં દેવારામ જાટ (રહે. રામનગર, જિ. બાડમેર), મોરબી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને આઈસર ટ્રકના માલિકનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:28 am

વીજળી (સુધારા) બિલ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન‎:સુરેન્દ્રનગર : વીજળી (સુધારા) બિલ સામે વીજ કર્મી, એન્જિનિયરો દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ 2025ના વિરોધમાં મંગળવારે દેશભરમાં વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા વિશાળ પ્રદર્શનો, વિરોધ સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF)ના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE)ના આહવાન પર આ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. સુરેન્દ્રનગરના કર્મીચારીઓ જોડાઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં પાવર પ્લાન્ટ્સ, ટ્રાન્સમિશન કેન્દ્રો, વિતરણ કચેરીઓ અને જિલ્લા મુખ્ય મથકો પર વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયરો એકઠા થયા અને પ્રસ્તાવિત કાયદાની સખત નિંદા કરી હતી. પ્રદર્શનકારીઓએ આ બિલને ખેડૂત વિરોધી, ગ્રાહક વિરોધી અને કર્મચારી વિરોધી ગણાવીને તેને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. એઆઇપીઇએફના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, વીજળી (સુધારા) બિલ 2025નો મુખ્ય હેતુ વીજ વિતરણના મોટા પાયે ખાનગીકરણની સુવિધા આપવાનો અને જાહેર વીજ ક્ષેત્રને નબળું પાડવાનો છે. તેમણે ચેતવણી આપી હતી કે આ બિલના પરિણામે દેશભરના ખેડૂતો, ઘરગથ્થુ ગ્રાહકો અને વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે ગંભીર પરિણામો આવશે. ફેડરેશને એવી પણ ચેતવણી આપી હતી કે આ બિલ દેશના સંઘીય માળખાને નબળું પાડે છે. આ બિલ જાહેર ડિસ્કોમની આર્થિક નબળાઈ, ખેડૂતો અને ઘરગથ્થુ ગ્રાહકો માટે વીજળીના દરોમાં વધારો, નફાનું ખાનગીકરણ અને નુકસાનનું સામાજિકકરણ તરફ દોરી જશે. મંગળવારે ગુજરાતના 7000 ઈજનેર અને 40000 કર્મચારીઓ દ્વારા ગુજરાત ભરની ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન અને જનરેશન અને ગુજરાત ભરની તમામ કંપનીઓની કોર્પોરેટ ઓફિસ, જિલ્લા લેવલની ઓફિસ સામે સૂત્રોચારો કરી ખાનગીકરણનો વિરોધ દર્શાવેલો તેમ જીઇબીઇએના સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસિયાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:27 am

નવાગામમાં હિન્દુ સંમેલન:ભારત માતાની સમૂહ આરતી કરાઇ‎, સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા કાર્યક્રમનું આયોજન‎

ખારાઘોડા નવાગામ ખાતે સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા વિરાટ હિન્દુ સંમેલન યોજાયુ હતું. આ વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સંતો, મહેમાનો સાથે વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. પાટડી તાલુકાના નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સામાજીક સમરસતા, સદભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ અર્થે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા માંડવી ચોક, નવાગામ-ખારાઘોડા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પધારેલા સાધુ-સંતો સહિતના મહેમાનોનું સામૈયું કરી કુમકુમ તિલક દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને વિરાટ હિન્દુ સંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેગામ ગૂરૂકૃપા આશ્રમના ચંદુબાપુ, મુલાડાના કરશનદાસ બાપુ, હસાબાપુ, બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ કાર્યના સુરેન્દ્રનગર વિભાગ સંયોજક નીલકંઠભાઇ વાસુકિયા અને પ્રખ્યાત સુંદરકાંડ આરાધક મનસુખભાઇ પટેલ (રાધે) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી દ્વારા આશિર્વચન આપતા સનાતન હિન્દુ ધર્મ, આપણા આસ્થાના કેન્દ્રો, વિશ્વ શાંતિ સહિતના મુદ્દે વાત રજુ કરવામાં આવી હતી. હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા નીલકંઠભાઇ વાસુકિયા દ્વારા આપણે કોણ છીએ, સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પુર્વેની સ્થિતી, સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. આ વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સંતો, મહેમાનો સાથે વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:25 am

વિમલનાથ વિસ્તારમાં હિન્દુ સંમેલન યોજાયું‎:વર્તમાન સમયમાં દરેક હિન્દુએ એકતા સાથે જાગૃત બનવું જરૂરી છે : સ્વામી સંદીપગિરી

સુરેન્દ્રનગરના વિમલનાથ ઓમ કાર સ્કૂલમાં બાળાઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો. સુરેન્દ્રનગરના વિમલનાથ વિસ્તાર દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉદ્યોગનગર સહિત આજુબાજુના લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંતો-મહંતો, આગેવાનોએ સમાજ જાગૃતિ, સંસ્કાર, રાષ્ટ્રભાવના અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. સ્વામી સંદીપગિરી દુર્ગા કુટિયા હુગલી વેસ્ટ બાંગલએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં હિન્દુ સમાજે સંગઠિત રહી એકતા જાળવવી અત્યંત જરૂરી છે. દરેક હિન્દુએ એકતા સાથે જાગૃત બનવું જરૂરી છે. સ્વામી વિવેકસાગરદાસજી સ્વામિનારાયણ મંદિર નરસિહપરા ધ્રાંગધ્રાના સંમેલનના હેતુ-ઉદ્દેશ્ય તેમણે ખાસ કરીને બહેનોને સ્વરક્ષણ માટે સજ્જ બનવાની પ્રેરણા આપી. તેમજ પુરુષોને વ્યસનમુક્ત બની બાળકોમાં સારા સંસ્કારો અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસાવવા અપીલ કરી હતી. સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું હતું કે સમાજે સમયસર જાગૃત થવાની જરૂર છે. નહીં તો આવનારા સમયમાં વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. દરેક હિન્દુએ એકતા સાથે જાગૃત બનવું જરૂરી છે. આચાર્ય આર્યબંધુજી આર્યસમાજ સુરેન્દ્રનગરએ સંમેલનના હેતુ-ઉદ્દેશ્ય તથા પંચ પરિવર્તન વિષય પર માર્ગદર્શન આપી જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે પાંચ મહત્વપૂર્ણ પરિવર્તનો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રાજેશભાઈ ચનિયારા વિભાગ સંયોજક સુરેન્દ્રનગર હેતુ-ઉદ્દેશ્ય જેમ કે સામાજિક સમરસતા સમાજમાં જાતિ, ભેદભાવ દૂર કરી એકતા અને ભાઈચારો વધારવો, સ્વદેશી ભાવના દેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી. ઉપરાંત સંમેલન નિમિત્તે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજનાં પ્રમુખ ડો. રૂદ્રદતસિંહ ઝાલા, ચેતનભાઈ પરમાર તેમજ વોર્ડ સભ્ય રમીલાબેન કાલીયા, બિલ્ડર વાય.બી ઝાલા અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મુકેશભાઈ કટારીયાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:24 am

અઢી લાખ લોકોની રોજગારીને અસર થશે:ગલ્ફ દેશમાં થાન સિરામીકની નિકાસ અટકી, ગેસમાં‎50% કાપથી ઉદ્યોગ 1 એપ્રિલથી બંધ કરવાનો નિર્ણય‎

મિડલ ઇસ્ટમાં 11 દિવસથી ચાલતાં યુદ્ધની અસર થાનના 250થી વધુ ઉદ્યોગ ઉપર વર્તાઇ રહી છે. સરકારે ઉદ્યોગમાં સપ્લાય થતાં કોમર્શીયલ ગેસના જથ્થામાં 50 ટકાનો કાપ મૂક્યો છે. રોજ 2.50 લાખ ક્યુબીક મીટર (અંદાજે 10 હજાર) કિલો ગેસનો સપ્લાય ઘટી 5 હજાર કિલો થઇ જતાં તા.1 એપ્રિલથી તમામ કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની સીધી અસર ફેક્ટરીમાં કામ કરતાં 50 હજાર કારીગરો અને ટ્રાન્સ્પોર્ટેશન, ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા 2.50 લાખ લોકોની રોજીરોટી ઉપર પડશે. થાન સિરામીક ઉદ્યોગ દ્વારા દર વર્ષે 1500 કરોડથી વધુનો સામાન વિદેશમાં અને 2500 કરોડથી વધુનો સામાન દેશમાં મોકલવામાં આવે છે. રૂ.3500 કરોડનું ટર્નઓવર ધરાવતાં આ ઉદ્યોગ અંગે પાંચાળ સિરામીક એસો.ની બેઠક મળી હતી. પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, નાનજીભાઇ પટેલ, શાંતીલાલ પટેલ, સંજયભાઇ બદરખીયા, અશ્વીનભાઇ મારૂ હાજર રહ્યા હતા. જેમાં ગેસમાં 50 ટકા ઓછા પુરવઠાને કારણે ભઠીઓ ચાલુ કરી શકાય તેમ નથી. કારણ કે, એક ભઠ્ઠીને ગરમ કરવામાં અંદાજે રૂ.1 લાખનો ગેસ વાપરવો પડે છે. 12થી 14 કલાક ભઠ્ઠી ચાલુ રાખવી પડે છે. જે 50 ટકા ગેસમાં શક્યતા નથી. ગેસને રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જટિલ : યુદ્ધ વિરામ 1 મહિનો ગેસ નહી મળેથાન સિરામીક ઉદ્યોગમાં વપરાતો ગેસ કતારથી આવે છે. ત્યાં એરપોર્ટ ઉપર બે પ્લાન્ટમાં મશીનરી ફીટ કરવામાં આવી છે તે 15 દિવસથી બંધ છે. ઘન સ્વરૂપમાં રહેલા ગેસને 8350 કેલેરી પ્રેશર આપીને ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઓછું પ્રેસર માફક આવતું નથી. વધુ પ્રેસર આવે તો ગેસનું પ્રમાણ ઘટે છે. આ પ્રક્રિયા એકદમ લાંબી અને જટિલ હોવાથી હવે યુદ્ધ પૂર્ણ થઇ જાય તો પણ એક મહિનો સુધી ગેસ ન મળે તેવી સ્થિતિ છે. ગલ્ફ દેશમાં 20 દિવસમાં પહોંચતી શીપના 45 દિવસ લાગે છેથાન સિરામીક ઉદ્યોગનો સામાન આફ્રિકા અને ગલ્ફના દેશમાં નિકાસ કરાય છે. અત્યારે યુદ્ધની સ્થિતીને લઇ શીપને જવા માટેના રસ્તા બદલાયા છે. જે શીપ પહેલા 20 દિવસે પહોંચતી તે અત્યારે 45 દિવસે પહોચે છે. જેને કારણે જે કન્ટેનરનો ટનનો ભાવ રૂ. 1 હજાર ભાવ હતો તે વધીને આજે 5 હજાર થઇ ગયો છે. આટલુ જ નહી પરંતુ ગલ્ફ દેશમાં નિકાસ કરેલા થાનના 5 કન્ટેનર પરત પણ આવ્યા છે. થાન સિરામીક ઉદ્યોગ દર વર્ષે રૂ.3500 કરોડનું ટર્નઓવર ધરાવે છે. .

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:22 am

દારૂ ઝડપાયો:હિંમતનગરમાં લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂ ઝડપાયો

હિંમતનગરમાં નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી 3.45 લાખનો દારૂ ઝડપી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ 13.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મંગળવાર સવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી માયા ટ્રાવેલ્સની લક્ઝરી નંબર RJ-19-PB-6914માં દારૂ છૂપાવવામાં આવ્યો છે. ​બાતમી મુજબની બસ સાબરડેરી બ્રિજ પાસે આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતાં વચ્ચેની સીટના નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી હતી. પોલીસે નાનુરામ નાનજી નનોમા (મીણા) (રહે. લાપીયા, તા. આસપુર, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ રણજીતસિંહ ચૌહાણ (રહે. 42/પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે 3.45 લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત 13.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:03 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:ઇકોમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરીમાં બે શખ્સો ઝડપાયા

મોડાસાના માલવણ કેશાપુર ચોકડી પાસે એલસીબીને માહિતી મળી હતી કે ઇકો નંબર gj 0 3 lg 77 98 માં બે શખ્સો રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી શામળાજી જીવણપુર બાકરોલ થઈ મોડાસા તરફ જવાના હોવાની માહિતીના આધારે એલસીબીએ ઇકોને બાકરોલથી મોડાસા તરફ આવતાં રોડ ઉપર અટકાવીને તલાશી લેતાં ગાડીમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવીને તેમાં સંતાડેલ વિદેશી દારૂ બિયરની બોટલ ટીન નંગ 291 કિં. 74580 મળ્યા હતા. પોલીસે ચાલક સાજનકુમાર લાલજીભાઈ પારગી રહે. ઓડ તા. શામળાજી અને રાહુલકુમાર મણીલાલ ખરાડી રહે. છાત્રેશ્વરી તા. મોડાસાની અટકાયત કરી વોન્ટેડ જયદીપસિંહ અને રાજસ્થાનના સલીયાટ ઠેકા ઉપર બેસતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોમર્શિયલ સિલિન્ડરનું સંકટ, હોટલોમાં ભોજન બંધ, 9 દેશોમાં ઓઈલ-ગેસ માટે હાહાકાર; ટીમ ઈન્ડિયા પર કરોડોની ધનવર્ષા; ગેસ મુદ્દે રાજ્યના ઊર્જા મંત્રીએ ધરપત આપી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાન યુદ્ધને કારણે ભારતમાં સર્જાયેલા કોમર્શિયલ સિલિન્ડર સંકટના છે. ઘણી જગ્યાએ હોટલોમાં જમવાનું મળી રહ્યું નથી. બીજી તરફ દુનિયાના 9 દેશોમાં ઓઈલની તંગી સર્જાઈ છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી તમિલનાડુ-કેરળની મુલાકાત લેશે. 16,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો ત્રીજો દિવસ. સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કાલના મોટા સમાચારો 1. ભારતમાં રાંધણ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:‘ESMA’ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળતો નથી કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955(ESMA)' લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થવાની નોબત આવી ગઈ છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને કહ્યું છે કે સપ્લાય ફરી શરૂ કરવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. એશિયાના 9 દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ:ઓઈલ-ગેસ માટે હાહાકાર, ક્યાંક લિફ્ટ બંધ તો ક્યાંક પગારમાં કાપ, શું ભારત પર સંકટ વધશે? ઈરાન યુદ્ધની અસર હવે એશિયાના ઘણા દેશોમાં દેખાવા લાગી છે. ઓઇલ અને ગેસના પુરવઠાને અસર થવાને કારણે ઓછામાં ઓછા 9 એશિયન દેશોમાં ઉર્જા સંકટ ઘેરું બનવા લાગ્યું છે. પરિસ્થિતિ એવી છે કે અલગ-અલગ દેશોને ઇંધણ બચાવવા અને ઉર્જા સંકટનો સામનો કરવા માટે કડક પગલાં ભરવા પડ્યા છે. બાંગ્લાદેશમાં તમામ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે, જેથી વીજળી અને ઇંધણનો વપરાશ ઘટાડી શકાય. જ્યારે થાઈલેન્ડમાં સરકારી કચેરીઓમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને કર્મચારીઓને સીડીઓનો ઉપયોગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમેરિકાએ કહ્યું- આજે ઈરાન પર સૌથી મોટા હુમલા થશે:ઈરાન બોલ્યું- ટ્રમ્પની ધમકીથી ડરતા નથી, અમને મારવાના ચક્કરમાં ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે મંગળવારે ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી તીવ્ર હુમલા કરવામાં આવશે. હેગસેથના મતે, આ હુમલામાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને બોમ્બર વિમાનો સામેલ હશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી રહી છે અને તે ખરાબ રીતે હારી રહ્યું છે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે તે ધમકીઓથી ડરનારા નથી અને જે લોકો ઈરાનને ખતમ કરવાની વાત કરે છે, તેમણે પોતાના અંજામ વિશે વિચારી લેવું જોઈએ. લારીજાનીએ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો ઈરાનને મિટાવવાની વાત કરી રહ્યા છે, તેમણે સાવધાન રહેવું જોઈએ, ક્યાંક એવું ન થાય કે ઈરાનને મારવાના ચક્કરમાં તેઓ પોતે જ ખતમ થઈ જાય. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સ્પીકર બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ:ગોગોઈએ કહ્યું- રાહુલને 20 વખત ટોકવામાં આવ્યા; રિજિજુએ જવાબ આપ્યો: પ્રિયંકાને વિપક્ષના નેતા બનાવ્યા હોત તો સારું થાત લોકસભામાં મંગળવારે વિપક્ષ સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો. 50થી વધુ સાંસદોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. આ પછી પીઠાસીને પ્રસ્તાવ રજૂ કરવાની પરવાનગી આપી દીધી. હવે આ પ્રસ્તાવ પર 10 કલાક ચર્ચા ચાલી રહી છે. વિપક્ષે ઓમ બિરલા પર સદનની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કરી. તેમણે કહ્યું કે બજેટ સત્ર દરમિયાન 20 વખત નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીને રોકવામાં આવ્યા. તેમને વારંવાર રૂલિંગ બુક બતાવવામાં આવી. તેમણે પોતાની સ્પીચમાં એક આર્ટિકલનો હવાલો આપ્યો. તેના પર તેમને રોકવામાં આવ્યા, પરંતુ સત્તા પક્ષના સાંસદોએ ભારતમાં પ્રતિબંધિત પુસ્તકો સદનમાં બતાવી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:BCCI ₹131 કરોડ આપશે, ખેલાડીઓ, સ્ટાફ અને સિલેક્ટર્સને અભિનંદન પાઠવ્યા, ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડકપ 2026 જીતવા બદલ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ભારતે રવિવારે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાનો ખિતાબ જાળવી રાખ્યો અને T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સતત બે વાર ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ. BCCI એ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. બોર્ડે આશા વ્યક્ત કરી કે ટીમ ભવિષ્યમાં પણ આ જ રીતે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરતી રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી’:કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે, ફર્ટિલાઇઝર-દૂધ માટે 40% કાપ; મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઊર્જા મંત્રીની હૈયાધારણા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી છે અને કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના નાગરિકોને ઊર્જા મંત્રીએ હૈયાધારણા આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદમાં ડામર પીગળતા ચંપલ ચોંટ્યા:42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ, 5 શહેરનો પારો 41ને પાર; હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું છે. તો અમદાવાદ, દીવ, વડોદરા, ડીસા, ભૂજનું મહત્તમ તાપમાન પણ 41 ડિગ્રીને પાર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું- UCC લાગુ કરવાનો સમય આવી ગયો છે:સંસદ નિર્ણય કરે, શરિયત કાયદાની કલમો રદ કરવાથી કાયદાકીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો થયો તો વિશ્વયુદ્ધ નક્કી!:એક્સપર્ટે કહ્યું- આ ઇરાનનું કરોડરજ્જુ, અહીંથી 90% ઈરાની તેલનું એક્સપોર્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક આતંકવાદી ઠાર:સેનાને બે આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી, બીજાની શોધખોળ ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઈરાનથી ખામેનીની તસવીર લઈને બાળક થાઈલેન્ડ પાછો ફર્યો:લેબનાનમાં પરિવારો સ્કૂલોમાં રહેવા મજબૂર, 22 તસવીરોમાં યુદ્ધનો વિનાશ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે વિદેશ પ્રવાસ મોંઘો થયો:ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ભાડું 15% વધ્યું, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી જેટ ઇંધણના ભાવ બમણા થયા; ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જસપ્રીત બુમરાહ T-20 ઓછી, વનડે વધુ રમશે:2027 વનડે વર્લ્ડ કપની તૈયારી પર રહેશે ફોકસ, વર્કલોડ મેનેજ કરશે બોર્ડ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની ચાલ બદલાશે: 2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે, કન્યા-ધનના જાતકોનો રાજયોગ શરૂ; જાણો ગ્રહનું ગોચર તમારા માટે કેટલું શુભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ સ્વપ્નમાં જીજાજીએ છેડતી કરી, 7 વર્ષ ચાલ્યો કેસ કાનપુરમાં સગીર સાળી સાથે છેડતીના આરોપમાં ફસાયેલા જીજાજીને 7 વર્ષ બાદ કોર્ટે નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે. સાળીએ હવે કહ્યું કે જીજાજીએ હકીકતમાં છેડતી કરી ન હતી, પરંતુ તેને સ્વપ્નમાં છેડતી થઈ હોવાનો ભ્રમ થયો હતો. પહેલા આપેલા નિવેદનને કારણે એરફોર્સના કર્મચારીને 19 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: આગામી 24 કલાકમાં અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત આવશે? કયા 5 મોટા સંકેતો મળી રહ્યા છે, નેતન્યાહુ કઈ શરત પર માનશે 2. પેટ્રોલપંપમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું: ખૂંખાર ગુનેગાર મનીષસિંહે ડબલ મર્ડર કરી બોટાદને ધ્રૂજાવ્યું, નાસ્તાની લારીથી શરૂ થયેલું ઓપરેશન મુંબઇ પહોંચ્યું 3. ગુજરાતની વેપારી સંસ્થાએ યુદ્ધમાં ફસાયેલા માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું: સામાન ઓછો રાખવાની અપીલ કરી, બિઝનેસમેન સહિત 6 લોકો સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : મુસ્લિમ સાથે લગ્ન, ભાઈનું ભણતર અને રાશન બંધ: મંદિરમાં એન્ટ્રી નહીં, છોકરી શહેર ભાગી ગઈ; ગામના લોકો બોલ્યા- આ ધર્માંતરણનું ષડયંત્ર 5. ભાસ્કર એક્સપ્લેનર : રોકેટ બનાવવાનો સામાન લઈને ચીનથી 2 જહાજ રવાના: ઈરાનની મદદ કેમ કરી રહ્યા છે જિનપિંગ?, શું અમેરિકા રસ્તામાં ઊડાવી દેશે? 6. Editor’s View : યુદ્ધ વખતે જ ઈરાનના બે દોસ્ત ચૂપ: પડદા પાછળ રશિયા અને ચીન ખિચડી રાંધે છે; કેમિકલ વેપન ભરેલા ચીનથી નીકળેલા બે જહાજનું રહસ્ય ઘેરાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન-કુંભ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે, કન્યા રાશિના લોકોને રોકાણથી મોટો ફાયદો થશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:00 am

ફરાર આરોપી ઝડપાયા:બે વર્ષથી નાસતા ફરતા 8 આરોપી ઝબ્બે

શામળાજી પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં ભિલોડાના ગલીસેમરો ગામના અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા 8 આરોપીઓને શામળાજી પોલીસે આશ્રમ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી. ઝડપાયેલા આરોપીઓ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:59 am