SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

સોમનાથના સાનિધ્યમાં વાડપ્રધાનનો અનોખો અંદાજ:શૌર્યયાત્રામાં ડમરૂં વગાડ્યો, ઢોલ વગાડી ઉત્સાહ વધાર્યો, વીડિયોમાં જુઓ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં ભાગ લીધો. તેમની મુલાકાતના બીજા દિવસે તેઓ આસ્થાના રંગે રંગાયા હતા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પીએમ મોદીએ જળ અને પંચામૃતથી વિશેષ અભિષેક પૂજન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી હતી. આ મુલાકાતનો સૌથી આકર્ષક નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે વડાપ્રધાન 108 અશ્વો સાથે નીકળેલી 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્યયાત્રામાં જોડાયા અને ખુલ્લી જીપમાં ડમરું વગાડ્યો હતો. સોમનાથ મંદિરના રક્ષણ કાજે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, વડાપ્રધાને મંદિર પરિસરની બહાર કલાકારો સાથે ઢોલ વગાડી ભક્તિમય માહોલનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઐતિહાસિક મુલાકાતમાં શૌર્ય, સંસ્કૃતિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો, જે જોવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:59 pm

પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો.:જૂનાગઢમાં ઉત્તરાયણ પૂર્વે લોકો અને પક્ષીઓ માટે જોખમી ચાઇનીઝ દોરી સાથે SOG એ કેવડાવાડીના વેપારી ઝડપી આપ્યો, 8 ફિરકી જપ્ત.

આગામી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ છે. પતંગ રસિકો આ દિવસે આકાશમાં પતંગયુદ્ધ ખેલવા આતુર હોય છે, પરંતુ આ આનંદ ક્યારેક કોઈના માટે જીવલેણ સાબિત થાય છે. ખાસ કરીને ચાઇનીઝ અને પ્લાસ્ટિક દોરી થી થતું નુકસાન અત્યંત ગંભીર હોય છે. આ દોરીથી અનેક પક્ષીઓના પાંખ કપાય છે અને અકાળે મૃત્યુ થાય છે, સાથે જ રાહદારીઓ અને વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે. આ જોખમને ધ્યાને રાખી સરકાર દ્વારા આવી દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો નફાની લાલચે તેનું વેચાણ કરે છે. ત્યારે જૂનાગઢ એસ.ઓ.જી.એ આવા જ એક વેપારીને ઝડપી પાડી સફળ કામગીરી કરી છે. ​આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અભિયાન છેડવામાં આવ્યું છે. આ અન્વયે SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, જૂનાગઢના કેવડાવાડી વિસ્તારમાં રહેતો અબ્દુલકાદર ઉર્ફે સોહીલ મહમદભાઈ શેખ (ઉંમર વર્ષ 39) પ્રતિબંધિત પ્લાસ્ટિક દોરીના જથ્થા સાથે વેચાણ અર્થે નીકળવાનો છે.બાતમીના આધારે SOG ની ટીમે ઝાલોરાપા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી અબ્દુલકાદર હાથમાં પીળા કલરની થેલી લઈને પસાર થતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન થેલીમાંથી પ્રતિબંધિત સિન્થેટિક કોટિંગ વાળી પ્લાસ્ટિક દોરી મળી આવી હતી.આરોપી પાસેથી પોલીસે MONO SKY' લખેલ સિન્થેટિક કોટિંગ વાળી પ્લાસ્ટિક દોરીની 5 ફિરકી,GERMAN TECHNOLOGY' લખેલ પ્લાસ્ટિક દોરીના 3 બોક્સ જેમાં 8 ફિરકી મળી કુલ કિંમત ₹2,400 નો મુદ્દામાલ કર્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે જાણતો હતો કે આ દોરી પ્રતિબંધિત છે, તેમ છતાં વધુ નફો કમાવવા માટે ચોરીછૂપીથી તેનું વેચાણ કરતો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ બદલ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ ડાંગર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:58 pm

સાળંગપુર કષ્ટભંજન દેવને ફળોનો અન્નકૂટ ધરાવાયો:દિવ્ય શણગાર સાથે મારુતિ યજ્ઞ યોજાયો, હજારો ભક્તો ઉમટ્યા

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે વિવિધ ફળોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં મોસંબી, કિવી, કેળા સહિતના ફળોનો સમાવેશ થતો હતો. શ્રીકષ્ટભંજન દેવનો અતિ મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:45 કલાકે શણગાર આરતી સંપન્ન થઈ હતી. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુરધામે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, મંદિરના પટાંગણમાં ભક્તિભાવપૂર્વક મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સાળંગપુરધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:57 pm

ગુલાબી ઠંડીમાં ભૂમિ ત્રિવેદીના સૂરે સુરતીઓ ઝૂમ્યાં:સુવાલી બીચ ફેસ્ટિવલમાં બે દિવસમાં 2 લાખથી વધુ સહેલાણીઓએ મોજ માણી, આજે સાંત્વની ત્રિવેદીનો કોન્સર્ટ

ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-2026'માં પ્રથમ દિવસ 9મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત 65 હજારથી વધુ અને બીજા દિવસે, 10મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત 1.50 લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા. સુવાલી ફેસ્ટિવલમાં બીજા દિવસે ગાયીકા ભૂમિ ત્રિવેદીના ગીતો પર સુરતીઓ મન મૂકીને નાચ્યા હતા. સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળીઃ MLA સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપ દેસાઈએ કહ્યું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે. આ પણ વાંચો… ઓસમાણ મીરના 'શિવ તાંડવ'થી સુવાલી બીચ ગુંજ્યો AI કેમેરાથી સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે. અહીંયા બીચ ઉપર ખૂબ બધી વાનગીઓ મેં ટ્રાય કરીઃ ભૂમિ ત્રિવેદીસિંગર ભૂમિ ત્રિવેદીએ કહ્યું કે, આજનો ખાસ સ્પેશિયલ દિવસ એટલા માટે છે કારણ કે આ સુવાલી બીચ ફેસ્ટિવલ માટે અહીંયા અમે બધા ભેગા થયા છીએ પર્ફોર્મન્સ માટે. ખાસ સુવાલી બીચ જ્યારે હું અહીંયા સાંજથી આવી અને હું ફરી અહીંયા બીચ ઉપર ખૂબ બધી વાનગીઓ મેં ટ્રાય કરી. અહીંયાના લોકો એટલા ડિસિપ્લિન અને એટલી સુંદર રીતે એકબીજાને જગ્યા આપીને... આઈ થિંક લાખની ઉપર આજે બધા આવ્યા છે. પ્રેક્ષકો અને શ્રોતાઓ બધા આવ્યા હતા અહીંયા સુવાલી બીચ ફરવા આવ્યા હતા, અહીંયા ફેસ્ટિવલ જોવા આવ્યા હતા. ‘સુરતવાસીઓને ખૂબ-ખૂબ આભાર આટલો પ્રેમ આપવા બદલ’બધા જે પંડાલ લાગ્યા છે, સ્ટોલ્સ લાગ્યા છે, ત્યાં ધીરે ધીરે વન-બાય-વન બધા જઈને, ફરીને આટલો સુંદર માહોલ જે આજે મેં નિહાળ્યો છે, એ સુરતમાં આઈ થિંક પહેલી વખત મેં જોયું છે. બધા જ ટીમ મેમ્બર્સને અને ડેફીનેટલી અમારા બધા જ પોલીસ કર્મચારીઓ, ફ્રન્ટલાઈનર્સ જે પણ આજે અમારી સુરક્ષામાં હાજર હતા. ડ્યુટી પર હાજર હતા, એમને પણ આઈ રીયલી હોપ કે મ્યુઝિક ગમ્યું હશે, એમને માણ્યું હશે. એન્ડ થેન્ક યુ, થેન્ક યુ સો મચ સુરત અને બધા જ સુરતવાસીઓને ખૂબ-ખૂબ આભાર આટલો પ્રેમ આપવા બદલ. થેન્ક યુ સો મચ!

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:49 pm

મોટાવડીયામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:700 થી વધુ દર્દીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મોટાવડીયા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. શ્રી અમૃતબેન વી. સવજાણી આશ્રમશાળા ખાતે આયોજિત આ કેમ્પમાં આસપાસના 700 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં જી.જી. હોસ્પિટલ જામનગર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જામજોધપુર અને બેસ્ટ હિલ હોસ્પિટલ જામનગરના નિષ્ણાત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ ટીમે જનરલ મેડિસિન, સર્જરી, ન્યુરોસર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ અને હાડકાના રોગોનું નિદાન કર્યું હતું. દર્દીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ, એક્સ-રે અને લેબોરેટરી રિપોર્ટ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ અને તેમના પરિજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સેવા આપનાર ડોકટરો અને મેડિકલ સ્ટાફના સૌહાર્દપૂર્ણ વર્તનથી દર્દીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવી એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:45 pm

ઉમરગામમાં સગીરાની હત્યા કરનાર મુખ્ય આરોપી પંજાબથી ઝડપાયો:4 વર્ષ પહેલા એકતરફી પ્રેમમાં છરી વડે હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો, પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું

વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2022માં થયેલી સગીરાની હત્યાના મુખ્ય આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાનને પોલીસે પંજાબથી ઝડપી પાડ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ફરાર આ આરોપીની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. પોલીસ તપાસ મુજબ, વર્ષ 2022માં ઉમરગામના નાની દહાડ રોડ પર 17 વર્ષની સગીરા ટ્યુશનથી ઘરે સ્કૂટી પર જઈ રહી હતી. તે સમયે પંકજ પાસવાન અને તેના બે સગીર મિત્રોએ તેના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે સગીરાના ગળા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. હત્યા પાછળનું કારણ એકતરફી પ્રેમ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી પંકજ પાસવાન સગીરાના પાડોશમાં રહેતો હતો અને તેને એકતરફી પ્રેમ કરતો હતો. સગીરાએ તેની સાથે કોઈ સંબંધ રાખવાનો ઇનકાર કરતા પંકજે ઉશ્કેરાઈને મિત્રો સાથે મળીને આ કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ પોલીસે ગુનો નોંધી બે સગીર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, મુખ્ય આરોપી પંકજ પાસવાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તે પોતાની ઓળખ છુપાવવા માટે સતત નામ, સરનામું અને મોબાઈલ નંબર બદલતો હતો અને અલગ-અલગ રાજ્યોમાં વેશપલટો કરીને રહેતો હતો. આરોપીના રિમાન્ડ મેળવીને ઉમરગામ પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોલીસ ટીમે આરોપીને સાથે રાખીને સગીરા હત્યા કેસની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. આરોપીએ કઈ રીતે હત્યા કરી અને ક્યાં પ્લાનિંગ કર્યું તેની ઝીણવટભરી નોંધ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:42 pm

108ની ટીમે પ્રેગ્નન્ટ મહિલાની ખેતરમાં જ ડિલિવરી કરાવી:રણસીપુર ગામમાં સ્ટાફની કોઠાસૂઝ અને તાત્કાલિક નિર્ણયના કારણે 22 વર્ષીય પ્રસૂતાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 108 ઇમરજન્સી સેવા આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસીપુર ગામેથી આવી જ એક પ્રશંસનીય ઘટના સામે આવી છે.જેમાં 108ની ટીમે સમયસૂચકતા વાપરીને એક સગર્ભા મહિલાની ખેતરમાં જ સુરક્ષિત ડિલિવરી કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો છે. મહિલા પ્રસૂતિ સમયે ખેતરમાં હોવાથી તેને હોસ્પિટલ પહોંચાડવી શક્ય નહોતીરણસીપુર ગામે રહેતી 22 વર્ષીય મહિલાને આજે વહેલી સવારે 5:12 કલાકે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. આ અંગેની જાણ થતા જ સરદારપુર લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. મહિલા ખેતરમાં હોવાથી અને તેની હાલત અત્યંત ગંભીર જણાતા હોસ્પિટલ પહોંચવું શક્ય નહોતું. આવી કટોકટીની સ્થિતિમાં 108ના ઈ.એમ.ટી. પ્રકાશભાઈ નાયી અને પાયલોટ જીતુજી ઠાકરડાએ તરત જ મોરચો સંભાળ્યો હતો. ડિલિવરી બાદ બાળકને 'કાંગારૂ મધર કેર' આપી જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવીઈ.એમ.ટી. પ્રકાશભાઈએ અમદાવાદ સ્થિત ઈ.આર.સી.પી. ડૉ. તુષારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ખેતરમાં જ પ્રસૂતિ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્ટાફની કોઠાસૂઝ અને તાત્કાલિક નિર્ણયના કારણે મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ બાળકને 'કાંગારૂ મધર કેર' આપી જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સુરક્ષા અને સારવાર માટે માતા તથા નવજાત શિશુને વડનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરશિયાળે વહેલી સવારે ખેતર જેવા મુશ્કેલ સ્થળે 108ની ટીમે દર્શાવેલી આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને પગલે મહિલાના પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:20 pm

'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર':જર્મનીમાં ફસાયેલી ભારતની દીકરીની વ્હારે આવ્યા ભૂલકાઓ, અરિહા શાહને ભારત લાવવા મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી

જર્મનીમાં ફસાયેલી ભારતની માસૂમ દીકરી અરિહા શાહને ભારત પરત લાવવા માટે હવે ભૂલકાઓએ મોરચો સંભાળ્યો છે અને 'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર'ના નારા સાથે વ્હારે આવ્યા છે. લાંબા સમયથી જર્મનીના ચાઇલ્ડ કેર સેન્ટરમાં રહેલી અરિહાને તેના પરિવાર અને માતૃભૂમિ સાથે પુનઃ મિલાપ કરાવવા માટે બાળકોએ ભાવુક થઈને PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી છે. ભારતની આ દીકરીને ન્યાય મળે અને તે પોતાના દેશ પરત ફરે તે માટે સોશિયલ મીડિયાના વીડિયો મારફત બાળકો આક્રોશ અને વિનંતી સાથે સરકારને કહ્યું છે. બાળકોની અરિહાની વતન વાપસી માટે સરકારને અપીલજર્મનીના ફોસ્ટર કેરમાં ફસાયેલી ભારતની નાની બાળકી અરિહા શાહને પરત લાવવા માટે હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્ર થઈને અરિહાની વતન વાપસી માટે ભારત સરકાર અને જર્મન સરકારને અપીલ કરી રહ્યા છે. ‘ભારતની દીકરી કરે પોકાર, મને બચાવો ભારત સરકાર’વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં બાળકો મંદિરના પગથિયાં પર બેસીને એકસૂરે 'ભારતની દીકરી કરે પોકાર, મને બચાવો ભારત સરકાર' અને 'જર્મન ચાન્સેલર! પ્લીઝ રિપેટ્રિએટ અરિહા' (German Chancellor! Please Repatriate Ariha)ના નારા લગાવી રહ્યા છે. બાળકોના હાથમાં પ્લેકાર્ડ્સ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની તસવીરો સાથે અરિહાને ભારત લાવવાની વિનંતી કરવામાં આવી છે. વીડિયોમાં એક યુવક નેતૃત્વ કરી રહ્યો છે અને બાળકો અરિહાની ભારતમાં વાપસીની આશા સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેમાં બેનરો પર લખ્યું છે: Trapped in Germany’s foster care, little Ariha is crying out - Save me Bharat. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે અને લોકો વડાપ્રધાન કાર્યાલય (PMO) ને આ બાબતે દરમિયાનગીરી કરવા વિનંતી કરી રહ્યા છે જેથી ભારતની દીકરી અરિહા શાહ પોતાના વતન અને પરિવાર પાસે પરત ફરી શકે. બાળકી છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં અરિહા શાહ નામની ભારતીય બાળકી છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં છે. તેના માતા-પિતા તેને ભારત લાવવા માટે લાંબા સમયથી કાનૂની અને રાજદ્વારી લડત લડી રહ્યા છે. ભારતીય સમુદાય અને ખાસ કરીને જૈન સમાજ દ્વારા અરિહાને તેની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ જળવાઈ રહે તે રીતે ભારતમાં ઉછેરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે. 9 જાન્યુઆરીએ કેરલના સાંસદે વિદેશ મંત્રીને પત્ર લખ્યો હતોજર્મનીમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફોસ્ટર કેર (પાલક સંભાળ)માં રહેલી ભારતીય બાળકી અરિહા શાહને પરત લાવવા માટે કેરલથી રાજ્યસભાના સાંસદ ડો. જોન બ્રિટાસે કેન્દ્ર સરકારને સક્રિય થવા અપીલ કરી છે. તેમણે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને પત્ર લખીને વિનંતી કરી છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની આગામી ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી દખલ કરવામાં આવે. મનોવિજ્ઞાનીએ પણ તેને માતા-પિતાને સોંપવાની ભલામણ કરી અરિહા શાહ એક ભારતીય નાગરિક છે. તેના માતા-પિતા વિરુદ્ધના તમામ ફોજદારી આરોપો પડતા મૂકવામાં આવ્યા હોવા છતાં, તે લાંબા સમયથી જર્મનીની બાળ સેવાઓની કસ્ટડીમાં છે. ડો. બ્રિટાસે પત્રમાં જણાવ્યું છે કે, જર્મન હોસ્પિટલે બાળકી સાથેના દુર્વ્યવહારના કોઈ પણ પુરાવા હોવાનો ઇનકાર કર્યો છે અને કોર્ટ દ્વારા નિયુક્ત મનોવિજ્ઞાનીએ પણ તેને માતા-પિતાને સોંપવાની ભલામણ કરી છે. આમ છતાં, જર્મન સત્તાવાળાઓ માતા-પિતાના અધિકારો ખતમ કરી તેને દત્તક આપવાની પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. બાળકીને તેના ભારતીય પરિવાર સાથે સંપર્ક કરવા દેવાતો નથીસાંસદે ભાર મૂક્યો હતો કે અરિહા પાસે ભારતીય પાસપોર્ટ છે. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકાર સંમેલન મુજબ તેને તેના પારિવારિક જીવન, સાંસ્કૃતિક ઓળખ, ભાષા અને ધર્મનો પૂરો અધિકાર છે. રિપોર્ટ્સ મુજબ, બાળકીને તેના ભારતીય પરિવાર સાથે સંપર્ક કરવા દેવામાં આવતો નથી અને તેને ભારતીય રીત-રિવાજોથી દૂર રાખવામાં આવી રહી છે, જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરિહાને પાંચ વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં મોકલાઈમાત્ર પાંચ વર્ષની ઉંમરે અરિહાને અત્યાર સુધીમાં પાંચ વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં મોકલવામાં આવી છે, જેના કારણે તેને સ્થિર વાતાવરણ મળ્યું નથી. હાલમાં તે મહિનામાં માત્ર બે વાર જ તેના માતા-પિતાને મળી શકે છે. હવે માતા-પિતાના જર્મનીમાં વિઝા પ્રતિબંધોને કારણે આ મુલાકાતો પર પણ જોખમ ઊભું થયું છે. જર્મન ચાન્સેલરની મુલાકાત વખતે આ મામલે પગલા લેવામાં આવેજર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ડો. બ્રિટાસે આગ્રહ કર્યો છે કે આ મુલાકાત અરિહાના મામલાને ઉકેલવાની શ્રેષ્ઠ તક છે. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન આ મુદ્દાને સર્વોચ્ચ રાજકીય સ્તરે ઉઠાવીને બાળકીના શ્રેષ્ઠ હિતમાં તેને ભારત પરત લાવવા માટે નિર્ણાયક પગલાં લેવામાં આવે. અમદાવાદના ગુજરાતી જૈન પરિવારની દીકરી અરિહા શાહનો કેસ હજુ પણ ઉકેલાયો નથી. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે 3 સપ્ટેમ્બર 2025ના જર્મનીના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. અરિહાના માતાની પીએમને અપીલઅરિહાના માતા ધારા શાહે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે કે, મને આશા છે કે આ પત્ર તમારા સુધી સારા સ્વાસ્થ્ય અને ખુશી સાથે પહોંચશે. હું તમને મારી પુત્રી, અરિહા શાહના કેસ અંગે ઊંડી ચિંતા અને નમ્ર વિનંતિ સાથે લખી રહ્યું છું, જે ગુજરાતની છે અને છેલ્લા ચાર વર્ષથી જર્મન અધિકારીઓની કસ્ટડીમાં છે. ભારતમાં પ્રેમાળ પરિવાર અને ઘર હોવા છતાં, તે તેના લોકો, સંસ્કૃતિ, ભાષા અને મૂળથી દૂર અનાથ જીવન જીવી રહી છે. આજે બેઠક કરો તે આ મુદ્દા પર ચર્ચા કરવા માતાની અપીલ12 જાન્યુઆરીએ, જર્મનીના માનનીય ચાન્સેલર અમદાવાદની મુલાકાત લેશે અને તમને મળશે. આ પ્રસંગ ભારત માટે આ લાંબા સમયથી પડતર માનવતાવાદી મુદ્દાને ઉચ્ચતમ રાજદ્વારી સ્તરે ઉઠાવવાની સુવર્ણ તક છે. પારિવારિક પ્રેમથી વંચિત રાખવામાં આવીઅરિહાને તેની સાંસ્કૃતિક ઓળખ, ભાવનાત્મક સુરક્ષા અને પારિવારિક પ્રેમથી વંચિત રાખવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે તેની પાસે રહેવા માટે કોઈ કાયમી કે સલામત સ્થાન નથી, જ્યારે સમય જતાં તેનો ભારતીય વારસો, ભાષા અને મૂલ્યો ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યા છે. આ ફક્ત કાનૂની મુદ્દો નથી; તે એક માનવતાવાદી અને સાંસ્કૃતિક મુદ્દો છે જેમાં ભારતીય છોકરીના ગૌરવ, અધિકારો અને ભાવનાત્મક સુખાકારીનો સમાવેશ થાય છે. અરિહાને પરત લાવવા માંગતેને પત્રમાં લખ્યું કે, માનનીય પ્રધાનમંત્રી, તમે હંમેશા ભારતના મૂલ્યો, પરંપરાઓ અને તેની પુત્રીઓના ગૌરવને જાળવી રાખ્યું છે. હું તમને નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે કૃપા કરીને અરિહાના કેસ પર ધ્યાન આપો અને જર્મન ચાન્સેલરની આગામી મુલાકાત દરમિયાન તેને ઉઠાવો, અરિહાના સુરક્ષિત વાપસી અને ભારત પરત ફરવા માટે વિનંતી કરો. મોદી-જર્મન ચાન્સેલર હસ્તક્ષેપ કરશે કે નહીં?તેને વધુમાં લખ્યું કે, તમારો કરુણાપૂર્ણ હસ્તક્ષેપ દીકરીને તેના પરિવાર સાથે ફરીથી જોડી શકે છે, તેની સાચી ઓળખ પુનઃસ્થાપિત કરી શકે છે અને તેના બાળકો અને તેમના સાંસ્કૃતિક મૂળના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી શકે છે. તે વિશ્વને એક મજબૂત સંદેશ પણ મોકલશે કે “ભારત તેના નાગરિકોના ભાવનાત્મક અને સાંસ્કૃતિક અધિકારોનું સમર્થન કરે છે, તેઓ ગમે ત્યાં હોય.”

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 2:10 pm

માળીયા પાસે ટ્રક ટ્રેલરની ટક્કરે યુવાનનું મોત:નાના દહીસરા નજીક અકસ્માત, એકને ઇજા

મોરબીના નવલખી રોડ પર આવેલા નાના દહીસરા ગામના પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો ગાડીને હડફેટે લેતા ગાડીના ચાલકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે ઇજાગ્ર્રસ્તની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ માળીયા (મી)ના ન્યુ નવલખી ગામે રહેતા હારુનભાઈ હાજીભાઈ જામ (ઉં.વ. 19) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બન્યો હતો. હારુનભાઈ પીપળીયા ચોકડી પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમના મિત્ર રફીક દાઉદભાઈ જંગીયા પોતાની ઇકો ગાડી (નંબર GJ 36 AP 0287) લઈને ત્યાંથી પસાર થયા હતા. રફીકભાઈ ન્યુ નવલખી તરફ જઈ રહ્યા હોવાથી હારુનભાઈ તેમની ગાડીમાં બેસી ગયા હતા. બંને નવલખી રોડ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. નાના દહીસરા ગામના પાટીયા પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક પહોંચતા, ટ્રક ટ્રેલર (નંબર GJ 36 T 4499) ના ચાલકે અચાનક વળાંક લેતા રફીકભાઈની ઇકો ગાડીને ડ્રાઇવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રફીકભાઈ અને હારુનભાઈ બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રફીકભાઈને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત હારુનભાઈ જામની ફરિયાદના આધારે માળીયા (મી) પોલીસે ટ્રક ટ્રેલર (નંબર GJ 36 T 4499) ના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:45 pm

ધાંગધ્રામાં 148 વાહનની હરાજી, ₹19.27 લાખની આવક:6 પોલીસ સ્ટેશનના કબજે કરેલા વાહનો વેચાયા

ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 148 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજી દ્વારા પોલીસને કુલ ₹19,27,000ની આવક થઈ છે. આ વાહનો ધાંગધ્રા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા હતા. તેમાં 130 ટુ-વ્હીલર, 10 થ્રી-વ્હીલર અને 8 ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. હરાજીમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી 100થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ધાંગધ્રાના DYSP જે. ડી. પુરોહિત, પીઆઈ અને પીએસઆઈ સહિત વિવિધ પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:33 pm

'પટ્ટા ઉતારી નાંખીશું, ક્યાં મર્યો તો, જલ્દી ટ્રાફિક સાફ કર':પોલીસ જવાનનું ગળું પકડી ધક્કો માર્યો, ભાવનગરમાં બે ભાઈનો ASI પર હુમલો

ગત 9 જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને હુમલાનો બનાવ સામે આવ્યો છે. રંગોલી ચોકડી નજીક ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાન સાથે બે શખ્સે ઉશ્કેરાઈને ગાળો ભાંડી હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને વરતેજ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રંગોલી ચોકડી નજીક ઉત્સવભાઈ યોગેશ દવે અને ઉત્કર્ષ યોગેશ દવે નામના બે શખ્સે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ બંને વ્યક્તિઓએ ઉશ્કેરાઇને ફરીયાદી અને વરતેજ પોલીસ સ્ટેશનના ASI રાજેન્દ્રસિંહ ગોહિલ તથા તેની સાથે હોમગાર્ડ સભ્યો તથા જી.આર.ડી. સભ્યોને બેફામ ગાળો આપી હતી. આ ઉપરાંત ફરીયાદી ઉપર હુમલો કરી છાતીના ભાગે ઘક્કો મારી ઇજા પહોંચાડી હતી. આ બાબતે ગત મોડી રાત્રે ફરજમાં રૂકાવટ કર્યાની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રંગોલી ચોકડી પુલ તરફ ટ્રાફિક ખુલ્લો કરવાની કામગીરીમાં હતો. આ દરમ્યાન સવારના સમયે ટાટા પંચ(GJ-04-EP-4266)ના ડ્રાઇવર અને તેની સાથેના માણસે ફરજ પર રહેલા પોલીસ જવાનને કહ્યું કે તું અહીંથી જલ્દી ટ્રાફીક સાફ કર, તું ક્યાં મર્યો તો, એમ કહીં માથાકૂટ કરી હતી. આ સમયે ફરિયાદીએ મોબાઇલમાં વિડીયો ઉતારવા જતા તેનો મોબાઇલ લઇ ફેંકી દીધો અને ટોપી ખેંચી રોડ પર ઘા કરી દીધી હતી. આ ઉપરાંત કહ્યું કે, તારા પટ્ટા ટોપી ઉતારી નાખીશું, તારા સાહેબને ફોન કરી અહીં બોલાવ. તેઓ તેની કાર લઇ રંગોલી ચોકડી બાજુ અમે આવીએ છીએ તેમ કહી હંકારી હતી, જે બાબતે ફોનથી જાણ કરતા ASI સાથેના 112ના ડ્રાઇવર ભાવિનભાઈ પારેખે પુલ પહેલા રોડ પર આ ફોર વ્હીલ રોકાવાનો પ્રયાસ કરતા ફોર વ્હીલ ભગાડી હતી. ત્યાર બાદ વ્હીસલ મારી કાર ઉભી રખાવતા ટાટા પંચ માંથી ઉત્સવ યોગેશ દવે અને ઉત્કર્ષ યોગેશ દવે ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ASI, હોમગાર્ડ તથા જી.આર.ડી. જવાનોને જેમ ફાવે તેમ અપમાનજનક શબ્દો કહ્યા હતા. જેનો હોમગાર્ડ અને જીઆરડી જવાનોએ વીડિયો શૂટ કર્યો હતો. જેથી આ બનાવને લઈ વરતેજ પોલીસે બે શખ્સ વિરુદ્ધ બીએનએસ 121(1),221, 132, 352, 54 કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:27 pm

સાવરકુંડલામાં માતાજીના મઢમાંથી ₹1.80 લાખની ચોરી:અમરેલી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ગેંગ સક્રિય

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીંજુડા ગામમાં આવેલા નાડા પરિવારના ખોડિયાર માતાજીના મઢમાંથી ₹1,80,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ અંગે ભરતગીરી સોમગીરી ગૌસ્વામીએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અજાણ્યા ઈસમો ગેરકાયદેસર રીતે મઢમાં પ્રવેશ્યા હતા. તેમણે લોખંડના સળિયા વડે લાકડાના દરવાજાના તાળા અને નકુચા તોડી નાખ્યા હતા. મઢની અંદરથી માતાજીની મૂર્તિ પર ચડાવેલું સોનાનું મુગટ તથા સોના-ચાંદીના નાના-મોટા છતર સહિત કુલ ₹1,80,000ની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ધાર્મિક સ્થળો અને મંદિરોને નિશાન બનાવતી તસ્કર ગેંગ સક્રિય બની છે. અગાઉ પણ સાવરકુંડલાના પીઠવડી ગામમાં એક મંદિરમાંથી આશરે ₹1.5 લાખની ચોરી થઈ હતી. આ ઉપરાંત, વડિયા નજીક આવેલા લૂણીધાર ગામના મંદિરમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરો અને આશ્રમોને વારંવાર નિશાન બનાવવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે, કારણ કે મોટાભાગે ગામડાઓમાં પેટ્રોલિંગનો અભાવ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:27 pm

લાકડિયામાં આરોગ્ય કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો:બદલી થયેલા કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી

લાકડિયા મુકામે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત કેટલાક કર્મચારીઓની બદલી થવાને કારણે તેમના સન્માનમાં એક વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની કર્તવ્યનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી. કાર્યક્રમ દરમિયાન, લાકડિયા વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં કર્મચારીઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું. માતા-બાળ આરોગ્ય, રસીકરણ, જનજાગૃતિ, નિયમિત સારવાર અને ખાસ કરીને કોરોના મહામારી જેવી વિષમ પરિસ્થિતિઓમાં દર્દીઓની સેવા કરવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી. તેમના કાર્યો આગામી પેઢીના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ જણાવાયું. બદલી થયેલા કર્મચારીઓમાં ડો. રવિ બાવરવા, ડો. પરબત ચૌધરી, દિલીપભાઈ પરમાર, કિરણભાઈ જોશી, મંજુલાબેન ગરવા, અશ્વિનીબેન પટેલ, તરુણાબેન પટેલ, રાજુભાઈ પરમાર, ઈશ્વરભાઈ મેર, મૂળજીભાઈ સોનારા અને કલ્પેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓને વિદાય આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારીઓ ડો. ઉર્વશીબેન, ડો. પરબતભાઈ ચૌધરી, આરોગ્ય મંડળ ભચાઉના પ્રમુખ ઉમંગભાઈ, ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય હરિભા ગઢવી, ભાજપ ભચાઉ સંગઠન મંત્રી સુરેશભાઈ સાલાણી, સિવલખાના સરપંચ બાલુભા જાડેજા, જેઠુંનાથ બાવાજી, લાભશંકર ગામોટ, રાણુંભા સોઢા, હબીબભાઈ, મુકેશભાઈ જાટાવાડીયા, દીપરાજસિંહ, ઝાકીર રાઉમા, સામાજિક કાર્યકર નીલભાઈ વીંઝોડા, ન્યાય સમિતિના ચેરમેન તેમજ બાબુ ભીખા કારીયા અને ચેતન વાણિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાકડિયા પી.આઈ. જે.એમ. જાડેજા અને તેમના તમામ સ્ટાફ દ્વારા કોરોનાકાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવી. સહકર્મચારીઓએ બદલી પામેલા કર્મચારીઓના કાર્યકાળ દરમિયાન થયેલા સકારાત્મક ફેરફારો અને તેમના માનવીય અભિગમની પ્રશંસા કરી. વિદાય લઈ રહેલા કર્મચારીઓએ પણ લાકડિયા મુકામે મળેલા સહયોગ, વિશ્વાસ અને પ્રેમ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ સેવા ભાવ સાથે કાર્ય કરતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતે, તેમને મોમેન્ટો તેમજ લાકડિયા ગ્રામજનો દ્વારા ખાસ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. શુભેચ્છાઓ સાથે તેમને ભાવસભર વિદાય અપાઈ. આ વિદાય કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે પ્રેરણાદાયી બન્યો. આ પ્રસંગે લાકડિયા આવેલા નવા આરોગ્ય કર્મચારીઓ પ્રિયાબેન, રાકેશભાઈ બારોટ, વિવેકભાઈ આહીર, રાજુભાઈ કોળી, હિતેશભાઈ ટાંક, રંજનબેન ચૌહાણ, દશનાબેન ગામેતી અને માધુરીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદાય સન્માન સમારોહમાં ડો. ભૂમિકાબેન, વિપુલભાઈ વાઘેલા, કિરેનભાઈ પાતર, ચેતનભાઈ જેઠવા, ભવિરાજસિંહ પરમાર, રાવલ અવનીબેન, ચાંદીનીબેન ચૌહાણ, અનિતાબેન વાઘેલા, પ્રવિણાબા ઘલ, ખુશાલીબેન પરમાર, આશા ફેસીલીટેટર અને આશા બહેનો સહિતનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલભાઈ વીંઝોડા દ્વારા કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:24 pm

ખોડલધામ મહિલા સમિતિએ 6000થી વધુ મહિલાઓને કેન્સર સામે રક્ષણ આપ્યું:જામનગરમાં નિદાન અને રસીકરણ કેમ્પનો સફળતાપૂર્વક આયોજન

જામનગર સ્થિત ખોડલધામ મહિલા સમિતિએ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સમિતિ દ્વારા આયોજિત કેન્સર નિદાન અને રસીકરણ કેમ્પમાં 6000થી વધુ મહિલાઓએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો હતો. આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન ચુડાસમાના સહયોગથી ૪૯૦૦ જેટલી બહેનોની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. આનાથી મધ્યમ વર્ગની મહિલાઓ માટે મોંઘા ટેસ્ટ સુલભ બન્યા હતા. આ ઉપરાંત, સંજીવની હોસ્પિટલના ડો. મોનિકા દોંગાના સહકારથી 820 જેટલી બહેનોના ગર્ભાશયના મુખનું (સર્વાઈકલ કેન્સર) નિદાન થયું હતું. ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાના હેતુથી મધરકેર હોસ્પિટલના ડો. નિમેશ વરસાણીના સહયોગથી 480 બહેનોને કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના 2 ડોઝ અને 15 થી 45 વર્ષની મહિલાઓને 3 ડોઝ આપી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવીને તેમને સ્વસ્થ જીવન તરફ દોરવાનો હતો, જેમાં સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે. ખોડલધામ મહિલા સમિતિ-જામનગરનું આ આયોજન સમગ્ર ગુજરાત માટે નારી સ્વાસ્થ્ય ક્ષેત્રે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે, જે કેન્સર મુક્ત સમાજની દિશામાં એક ઐતિહાસિક કદમ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:22 pm

વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું લોકાર્પણ:ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખુલ્લું મુકાયું

દસાડા વિધાનસભાના પાટડી તાલુકાના વિસાવડી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલના હસ્તે રીબીન કાપીને આ ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગ્રામ પંચાયતના વીસીની કામગીરીને પણ બિરદાવી હતી. સરકાર ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને ગ્રામજનોને આધુનિક સુવિધાઓ એક જ સ્થળે પૂરી પાડવા સતત પ્રયત્નશીલ છે. આ નવીન ભવન ગામના વિકાસ માટે નવા દ્વાર ખોલશે અને સ્થાનિક લોકપ્રશ્નોના નિકાલમાં વેગ લાવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ડોડીયા, સુરસાગર ડેરીના ડિરેક્ટર વાલાભાઈ ભરવાડ, પંકજભાઈ, તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી મલેકભાઈ, પરબતભાઈ રબારી, વિસાવડી ગામના સરપંચ વનરાજસિંહ વાઘેલા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતની ટીમ, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમ અને ભરતભાઈ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ ડોડીયાએ કર્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવા અને છેવાડાના ગામનો વિકાસ અમારો સંકલ્પ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:18 pm

પાટણમાં કડકડતી ઠંડી:પારો 11 ડિગ્રીએ પહોંચ્યો, ઉત્તર-પૂર્વીય પવનોથી ઠૂંઠવાયું પાટણ, હજુ ઠંડી વધવાની આગાહી

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સવારે પાટણનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જવાની અને ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે. શિયાળાની ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે શહેરી વિસ્તારોમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે લાકડા તેમજ છાણાં સળગાવી તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. ઠંડીની મોસમ જામતા ગરમ વસાણાંના બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. લોકો શક્તિવર્ધક મેથીપાક, કચરિયું અને આદુપાક જેવા વસાણાંની ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, ખાનપાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે, જેમાં લોકો તુવર તોઠા, ડુંગળીયું, લીલી હળદરનું શાક, બાજરીના રોટલા અને સૂપ જેવી વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. મોટાભાગના લોકો ખેતીકામ અને રવિ પાકના વાવેતર સાથે જોડાયેલા હોવા છતાં, ઠંડીના કારણે ખેડૂતો બપોર બાદ ખેતરે જવાનું ટાળી રહ્યા છે અને સાંજ પડતા જ ઘરે પરત ફરી રહ્યા છે. સાંજના સમયે લોકો ઘરની અંદર રહેવાનું વધુ પસંદ કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાઓ વહેલી સાંજથી જ સુમસામ ભાસી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:16 pm

પાલિકાના બે વિવાદાસ્પદ ઠરાવ રદ:ગૌચર જમીન પરના RO પ્લાન્ટ, કન્સલ્ટન્સી સત્તાના ઠરાવો રદ

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિના બે મહત્વના ઠરાવોને કાયમી અસરથી મુલત્વી રાખવાનો આદેશ કર્યો છે. આ ઠરાવો હાંસાપુર ખાતે ગૌચરની જમીન પરના આર.ઓ. પ્લાન્ટને ભાડાપટ્ટે આપવા અને કન્સલ્ટન્સી એજન્સીઓની પસંદગીની સત્તા કારોબારી સમિતિ હસ્તક રાખવા સંબંધિત હતા. કમિશ્નરે ચીફ ઓફિસરના રિમાર્કસને માન્ય રાખી આ નિર્ણયોને વહીવટી પ્રક્રિયા અને સરકારી માર્ગદર્શિકા વિરુદ્ધ ગણાવ્યા. પાટણના હાંસાપુર વિસ્તારમાં ઓવરહેડ ટાંકી પાસે આવેલો આર.ઓ. પ્લાન્ટ ગૌચરની જમીન પર હોવાનું જણાયું હતું. અગાઉ, નગરપાલિકાની બેઠકમાં આ પ્લાન્ટના સંચાલક ચંદ્રિકાબેનને 10 વર્ષ માટે ભાડાપટ્ટે આપવા માટે જાહેરાત આપી ભાવો મંગાવવાની પ્રક્રિયા બહુમતીથી મંજૂર કરાઈ હતી. જોકે, નગરસેવક દેવચંદ પટેલે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીફ ઓફિસરે આ ઠરાવની સમીક્ષા કરતા સ્પષ્ટ કર્યું કે સરકારની પૂર્વ મંજૂરી વિના ગૌચરની જમીન પર કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ થઈ શકે નહીં. સરકારી માર્ગદર્શિકા મુજબ, ગૌચરની જમીન આવા હેતુઓ માટે ફાળવી શકાતી નથી. આથી, કમિશ્નરે આ ઠરાવને કાયમી ધોરણે રદ કર્યો છે. બીજા કિસ્સામાં, પાટણ નગરપાલિકાની બાંધકામ અને અન્ય શાખાઓમાં રોડ-રસ્તા તથા બાગ-બગીચાના વિકાસ માટે બે કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓની પસંદગી કરવાની સત્તા કારોબારી સમિતિને સોંપવાનો ઠરાવ 25 જૂન, 2025 ના રોજ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પર ઓક્ટોબર, 2025 માં વચગાળાનો મનાઈ હુકમ અપાયો હતો. મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે અંતિમ નિર્ણય લેતા જણાવ્યું કે, એજન્સીઓની પસંદગી અને વહીવટી પ્રક્રિયા મ્યુનિસિપલ એક્ટ મુજબ ચીફ ઓફિસરની સત્તા હેઠળ આવે છે. કારોબારી સમિતિ દ્વારા વહીવટી સત્તાઓ પોતાના હસ્તક લેવાનો આ પ્રયાસ કાયદેસર ન હોવાનું ઠેરવી કમિશ્નરે આ ઠરાવ પણ મુલત્વી રાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:06 pm

ગોધરા-અમદાવાદ હાઇવે પર શિમલા કબાડી માર્કેટમાં આગ:સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ, ધુમાડા દૂર સુધી દેખાયા

ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલી શિમલા કબાડી માર્કેટમાં સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. માર્કેટમાં રાખવામાં આવેલા સ્ક્રેપ (ભંગાર)ના વિશાળ જથ્થાએ જોતજોતામાં આગ પકડી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ માહિતી મળી નથી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 1:00 pm

PM મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલનું ઉદ્ઘાટન થશે:મારવાડી યુનિ.માં 6 એક્ઝિબિશન અને 1 ઇનોગ્રેશન હોલ તૈયાર, 350 વિદેશી ડેલિગેટ્સ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો રહેશે ઉપસ્થિત

PM મોદી આજે(11 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેસ્ટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક આ નવી પહેલ છે જેના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે. PM મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથથી હેલીકોપ્ટર મારફતે રાજકોટ આવી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ પર ઉતરી અંદાજિત 1 વાગ્યે મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાફલો પહોંચશે. PM વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશેસૌપ્રથમ PM એક્ઝિબિશન હોલની મુલાકાત કરી બાદમાં ઇનોગ્રેશન હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ ખાતે પહોંચી આ સમિટને ખુલ્લી મુકશે. મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્કવેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઇ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેમાં સ્પેશિયલ MSME હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્કેવર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. લાખો-કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજઆ ઉપરાંત એક કોન્ફોરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે. અહીથી લાખો-કરોડોની કિંમતના MOU થવાનો પણ અંદાજ છે અને આ જ હોલમાં બે દિવસ સુધી કોન્ફોરન્સ, સેમિનાર, કોન્ક્લેવ અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરાયું છે. ગુજરાત-દેશભરમાંથી 5,000થી વધુ ઉદ્યોગકારો સમિટમાં ભાગ લેશેઆ વાઇબ્રન્ટ સમિટમાં 22થી વધુ દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ આવવાના છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી મળી 5,000થી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેશે. અહીં તમામની જમવાની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. જ્યારે વિદેશી ડેલિગેટ્સ આવે તો તેમનું સ્વાગત મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમના કલ્ચર મુજબ કરાશે. 6 એક્ઝિબિશન હોલ, ઇનોગ્રેશન હોલ, પાર્કિંગની વ્યવસ્થારાજકોટ-મોરબી રોડ પર બેડી ગામથી આગળ ડાબા હાથ પર મારવાડી યુનિવર્સિટી આવેલી છે, જ્યાં મેઈન ગેઈટમાં પ્રવેશ કરતાની સાથે ડાબા હાથ તરફ કુલ 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરાયા છે. જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. એ જ રીતે મેઈન બિલ્ડિંગની બાજુમાં મુખ્ય ઇનોગ્રેશન હોલ તૈયાર કરાયો છે. જયારે જમવા માટે બે અલગ અલગ જગ્યા પર ડાઇનિંગ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં એક સિલ્વર ડાઇનિંગ કે જે મેઈન બિલ્ડિંગની પાછળ F ટાવરની બાજુમાં અને ગોલ્ડ ડાઇનિંગ વ્યવસ્થા ટાગોર ટાવરની બાજુમાં મેઈન બિલ્ડિંગની સામે કરવામાં આવી છે. આ ઉપરાંત મેઈન બિલ્ડીંગ પાછળ એક ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. વિવિધ કોન્કલેવ અને સેમિનારનું આયોજનવાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઉદ્ઘાટન સેરેમની ઉપરાંત બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર, ગ્રીન સ્ટાર્ટઅપ, ઓઇલ એન્ડ ગેસ, શિપબિલ્ડીંગ, વુમન એમ્પાવર, એમ્પાવર ગુજરાત કોન્ફોરન્સ સેમિનાર અને કોન્ક્લેવ થવાના છે જયારે અંતમાં કલચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા દિવસે 12 જાન્યુઆરીના રોજ ટુરિઝમ, બ્લુ ઈકોનોમી, સીરામીક કોન્ક્લેવ, ગિફ્ટ સીટી ઑપર્ચ્યૂનિટિ, માઇનિંગ રિવોલ્યુશન, MSME કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ સેમિનાર, ડિફેન્સ, બાંધણી-પટોળાની અંદર ગ્લોબલ ઑપર્ચ્યૂનિટિ, આયાત નિકાસ સેમિનાર વગેરે આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 12:27 pm

અમદાવાદમાં હવા પ્રદૂષણની સ્થિતિ ગંભીર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના ગાંધી આશ્રમ તેમજ રિવરફ્રન્ટ રુટ ઉપર સતત પાણીનો છંટકાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ 12 જાન્યુઆરી 2026ના અમદાવાદની મુલાકાતે આવવાના છે. સવારે ગાંધીઆશ્રમ અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જવાના છે ત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ખૂબ ખરાબ સ્થિતિમાં છે. આજે 11 જાન્યુઆરીના રોજ સવારે 11:30 સુધીમાં AQI 229 સુધી પહોંચ્યો છે, એટલે કે હવાના પ્રદૂષણની સ્થિતિ ગંભીર હોવાની કેટેગરીમાં પહોંચ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના આવવાના રૂટ પર કોર્પોરેશન દ્વારા સતત મિસ્ટ મશીનનો ઉપયોગ કરી ઝાડ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. AQI 272 આસપાસ પહોંચ્યોછેલ્લા બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે અમદાવાદનું પ્રદૂષણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે. આજે 11 જાન્યુઆરીના રોજ સવારે પણ હવા પ્રદુષણની સ્થિતિ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી હતી. લગભગ 272 આસપાસ AQI પહોંચી ગયો હતો. રૂટ પર પાણીનો છંટકાવવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આવવાના છે જે નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ જ્યાંથી AQI માપવામાં આવે છે ત્યાં પણ લગભગ 212ની આજુબાજુ AQI નોંધાયો છે. આ તમામ પરિસ્થિતિને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રૂટ ઉપર સતત પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. રૂટ પરની બાંધકામ સાઇટ બંધવડાપ્રધાનના રૂટ ઉપર જેટલી પણ બાંધકામ સાઈટો આવેલી છે ત્યાં મોટી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે તથા બાંધકામની કામગીરી હાલ બંધ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:35 am

પોરબંદરમાં 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી:રસ્તામાં પીડા વધતા EMT અને પાયલોટે માતા-બાળકને સુરક્ષિત રાખ્યા

પોરબંદર જિલ્લાના નવી બંદર ગામે એક પ્રસૂતાને અચાનક પ્રસવ પીડા ઉપડતા 108 ઈમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી. 108 ટીમે મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. કોલ મળતા જ બળેજ 108 ની ટીમ તાત્કાલિક નવી બંદર ગામે પહોંચી હતી. પ્રથમવાર ગર્ભવતી રહેલી મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી, ત્યારે રસ્તામાં જ પીડા અત્યંત વધી ગઈ હતી. આ સ્થિતિમાં 108 ના EMT ભનુભાઈ મોકરિયા અને પાયલોટ રોહિત કામરીયાએ પોતાની તાલીમ અને સમયસૂચકતાનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી. આ પ્રસુતિ દરમિયાન મહિલાએ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. ERC P ડૉ. ટી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં માતા અને બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી એમ.આર. લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર 108 ઈમરજન્સી સેવાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવી છે. પુત્રના જન્મ બાદ EMT ભનુભાઈ મોકરિયા અને બળેજ 108 ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ અને જિલ્લા કોઓર્ડિનેટર જયેશ સાહેબ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:09 am

વાયબ્રન્ટ સમીટમાં મીની હોસ્પિટલ ઉભી કરાઈ:રાજકોટ મારવાડી કોલેજ ખાતે 6 બેડની સુવિધા, 25 ડૉક્ટર્સ અને 10 નર્સિંગ સ્ટાફ સહિત 50નો સ્ટાફ સતત ખડેપગે રહેશે

રાજકોટમાં આજથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ - વિદેશના અનેક મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી, કોઈપણ સંભવિત તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મારવાડી કોલેજ કેમ્પસમાં જ 6 બેડની સુવિધા ધરાવતી અદ્યતન મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ તૈયાર કરાયેલી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ફોજ તૈનાત કરવામાં આવી છે, જે કોન્ફરન્સ પૂર્ણ થાય ત્યાં સુધી ચોવીસ કલાક ખડેપગે રહેશે. સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થામાં દર્દીઓની સારવાર માટે કુલ 50 જેટલા મેડિકલ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ટીમમાં ફિઝિયોથેરાપી, જનરલ સર્જન, ઓર્થોપેડિક (હાડકાના નિષ્ણાત) અને મેડિકલ ઓફિસર જેવા વિવિધ રોગોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. કોન્ફરન્સ દરમિયાન સતત તબીબી દેખરેખ જળવાઈ રહે તે માટે કુલ 25 ડોક્ટરોની ટીમ ખાસ ફાળવવામાં આવી છે, જેમાંથી દરરોજ 5 ડોક્ટરો રોટેશન મુજબ ફરજ બજાવશે. આ ઉપરાંત, સહાયક સ્ટાફ તરીકે 10 નર્સિંગ સ્ટાફ અને 10 સર્વન્ટ સહિતનો અન્ય પેરામેડિકલ સ્ટાફ પણ સ્થળ પર ઉપલબ્ધ રહેશે. આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીધું કરવામાં આવી રહ્યું છે. મારવાડી કોલેજમા ઉભી કરવામાં આવેલી આ હોસ્પિટલ માત્ર પ્રાથમિક સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને નાની સિવિલ હોસ્પિટલ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે અહીં અત્યાધુનિક સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે. નાની-મોટી ઈજાઓ કે ડ્રેસિંગ માટે 3 સ્પેશિયલ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય અને દર્દીને તાત્કાલિક અન્ય મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડે, તો તે માટે 3 હાઈ-ટેક એમ્બ્યુલન્સને સ્થળ પર જ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઇમરજન્સી અને જીવનરક્ષક દવાઓનો પણ પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે, જેથી દવાના અભાવે સારવારમાં વિલંબ ન થાય. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ એ રાજ્યનો અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે અને તેમાં સુરક્ષાની સાથે મહેમાનોનું સ્વાસ્થ્ય જાળવવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મારવાડી કોલેજમાં તૈયાર કરાયેલી 6 બેડની આ હોસ્પિટલ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સ્થળ પર જ તાત્કાલિક નિદાન અને સારવાર કરવામાં સક્ષમ છે. રાજકોટમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી અને 50 સભ્યોની ટીમ આધુનિક સાધનો સાથે ખડેપગે છે. રાજકોટમાં આ મિની હોસ્પિટલની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, જો કોઈ પ્રતિનિધિ કે મહાનુભાવની તબિયત લથડે તો તેમને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળી રહે. 24 કલાક કાર્યરત રહેનારી આ હોસ્પિટલમાં ડોક્ટરોનું રોટેશન એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે કોઈપણ સમયે મેડિકલ હેલ્પ મળી શકે. આ વ્યવસ્થા માટે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ અને નિષ્ણાતોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આમ, વાયબ્રન્ટ ગુજરાતના આ આંતરરાષ્ટ્રીય મંચ પર તબીબી સેવાઓ બાબતે તંત્ર દ્વારા સચોટ અને સુદ્રઢ આયોજન કરીને મહેમાનોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 11:02 am

સંતરામપુર પોલીસે 5 ગુમ મોબાઈલ પરત કર્યા:રૂ.1.29 લાખના ફોન મૂળ માલિકોને સોંપાયા, 'તેરા તુજકો અર્પણ' હેઠળ

મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ હેઠળ ગુમ થયેલા પાંચ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹1,29,990 છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને મદદનીશ પોલીસ વડા વિકાસ યાદવની સૂચનાથી, સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. ડિંડોરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુમ થયેલા મોબાઈલ ફોનનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તે માટે 'CEIR' પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી. પોર્ટલ પર ફોન એક્ટિવ થતાં મળેલ એલર્ટ માહિતીના આધારે ડેટા એનાલિસિસ કરીને આ પાંચ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. જે માલિકોને તેમના ફોન પરત મળ્યા છે તેમાં મુકેશભાઈ રામસિંઘભાઈ ડાભી (ગામ શીર, વિવો, ₹58,000), વાસુદેવ ધૂળાભાઈ બામણીયા (ગામ સંતરામપુર, વિવો, ₹12,000), અલ્પેશભાઈ શંકરભાઈ સંગાડા (ગામ ઝાલદડા, ઓપ્પો, ₹21,490), ભરતભાઈ ગુલાબભાઈ બારીયા (ગામ વનેડા, મોરવા હડફ, પંચમહાલ, ઓપ્પો, ₹14,000) અને નિમેશકુમાર નટવરલાલ માળી (ગામ સંતરામપુર, વિવો, ₹24,500) નો સમાવેશ થાય છે. સંતરામપુર પીઆઈ કે.કે. ડિંડોરના હસ્તે આ તમામ અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા. ફોન પરત મળતા તમામ અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:51 am

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી:5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર; આબુમાં વાહનો પર બરફનાં થર જામ્યાં

રાજ્યભરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે, જેમાં ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે 11 જેટલા શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનોનો ચમકારો જારી રહેશે. બીજી તરફ, માઉન્ટ આબુમાં પારો શૂન્યની નીચે પહોંચતા વાહનોના કાચ પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે હિલ સ્ટેશન પર ‘મિની કાશ્મીર’ જેવો નજારો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુંઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાવાને કારણે રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સિઝનનું સૌથી ઠંડુગાર શહેર નલિયા બની ગયું છે. જ્યાં સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇન્સમાં પહોંચતા બરફની ચાદર છવાઈમાઉન્ટ આબુ અત્યારે જાણે 'મિની કાશ્મીર' બની ગયું હોય તેવો અદભૂત માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો શૂન્યની નીચે રહેતા સમગ્ર હિલસ્ટેશન પર કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વાહનોના કાચ અને ખુલ્લા બગીચાઓમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળે છે, જેના કારણે પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જોકે, આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના 11 જેટલા શહેરમાં પારો 15 ડિગ્રી કરતા નીચે પહોંચ્યોમાત્ર એટલું જ નહીં પરંતુ રાજ્યના 11 જેટલા શહેરમાં પારો 15 ડિગ્રી કરતા નીચે પહોંચી ગયો છે. પોરબંદરમાં 11.5 ડિગ્રી, અમદાવાદમાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12 ડિગ્રી, કંડલામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, દ્વારકામાં 13.6 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી, દીવમાં 14.3 ડિગ્રી, દમણમાં 15.2 ડિગ્રી, વેરાવળમાં 15.5 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવઉત્તર ભારતમાંથી ફૂંકાતી ઠંડી પવનની અસરને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ ઘેરો બન્યો છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ વાતાવરણ સુકું રહેવાનું છે, વરસાદની કોઈ શક્યતા નથી. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, પરંતુ ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ હજુ પણ રહેશે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો વધુ અનુભવ થશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 10:36 am

ગોધરામાં ‘સન્ડે ઓન સાયકલ’ રેલી:ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહન

ગોધરામાં કેન્દ્ર સરકારના 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ હેઠળ પ્રથમવાર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ સ્વાસ્થ્યપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં વ્યાયામનું મહત્વ સમજાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સાધન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાયકલિંગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય મંત્રી તથા 'ફિટ ઇન્ડિયા' અભિયાનના પ્રેરણાસ્રોત મનસુખ માંડવિયાએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ માટે સાયકલિંગને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત 'સન્ડે ઓન સાયકલ' જેવા કાર્યક્રમો દ્વારા લોકોને નિયમિત સાયકલ ચલાવવા અને શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ જ અભિયાનની પ્રેરણાથી ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના બામરોલી રોડ પરથી આ રેલી શરૂ થઈ હતી, જે ગદુકપુર બાયપાસ ચોકડી, પરવડી ચોકડી, દાહોદ રોડ થઈને પરત બામરોલી રોડ પર પહોંચી હતી. ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના આયોજકોના જણાવ્યા અનુસાર, આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. આવનાર સમયમાં આવા વધુ કાર્યક્રમો યોજીને 'ફિટ ઇન્ડિયા' અભિયાનને જનઆંદોલન બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:41 am

પહેલા વ્યક્તિ ને હવે ગાય ખાબકી, રેસ્કયૂનો VIDEO:અટલાદરામાં ફાયરે અબોલ જીવને બચાવ્યો; સ્થાનિકોએ કહ્યું- આખા શહેરમાં મોતના ખાડા ખોદી રાખ્યા છે, કોઈનો જીવ જશે ત્યારે જાગશે

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલય પાસે ખુલ્લી ગટરમાં એક ગાય ગત રાત્રે ખાબકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાએ તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી માલિકને સોંપી હતી. આ ઘટના અંગે વાસણા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી હતી. ગટરની ખુલ્લી ચેમ્બર હોવાથી જગ્યા સાંકડી હોવાથી ફાયરે એક કલાકના સતત પ્રયત્નો બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી માલિકને સોંપી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. ગાયને સલામત બહાર કાઢી તેના માલિકને સોંપીઆ અંગે ફાયર વિભાગના કર્મીએ જણાવ્યું કે, અમને અહીં ખુલ્લી ગટરમાં ગાય પડી હોવાની માહિતી મળી હતી. અમારી ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ ગાયને સલામત બહાર કાઢી તેના માલિકને સોંપી દીધી છે. કોર્પોરેશને આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છેઆ અંગે સ્થાનિક રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ એટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે. અહીંયા અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો હતો. આ બાબતે ફરી એકવાર હું કોર્પોરેશનને કહેવા માંગુ છું કે, કોર્પોરેશને આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે. એમને થોડી પણ શરમ જેવું રહ્યું નથી. એમને કંઈ પડી નથી. જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે. માત્ર ખુલ્લું મૂકીને જતું રહેવાનું?વધુમાં કહ્યું કે, ફરી શહેરમાં માંજલપુર જેવી ઘટના બની હોત, પરિવારને માત્ર રડવા સિવાય બીજું કઈ ન રહ્યું હોત. આ અબોલા પ્રાણીનો પણ એક જીવ છે. જો એનો પણ જીવ ગયો હોત, તો એના માલિકને દુઃખ થવાનું જ હતું. પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી છે કે આખા વડોદરામાં ખાડા ખોદ ખોદ કર્યા છે. અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો. ખાડા રાખો છો તો એની પર બેરીકેટ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો પણ કશું જ નહીં. માત્ર ખુલ્લું મૂકીને જતું રહેવાનું? આ જગ્યા પર એક બેરીકેટ નથીવધુમાં કહ્યું કે, આ જગ્યા પર એક બેરીકેટ નથી, વિચાર કરવા જેવી વાત છે કે કોર્પોરેશનને કઈ શરમ જેવું છે જ નહીં. લોકોને મરવા માટે ખાડા ખોદી રાખ્યા છે. કોઈનો જીવ જશે ત્યારે જાગશે? તો વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે અને કામગીરી પર ધ્યાન આપે નહીંતર કોઈનો જીવ જશે ત્યારે જાગશે? પૈસાથી કશું થતું નથી. પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કોઈ મતલબ નથી. પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે કેમ કે આખા વડોદરામાં ખાડા ખોદેલા છે. ખાસ કરીને અટલાદરા વિસ્તારમાં ખાડાઓની કોઈ લિમિટ જ નથી. હજુ પણ કોર્પોરેશન ઘોર નિદ્રામાં છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:34 am

વડોદરામાં 15 વર્ષ બાદ આજે ફરી ઇન્ટરનેશનલ મેચ રમાશે:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેશનલ લઈને ચાહકો આતુર, પહેલીવાર સ્ટેડિયમ હાઉસફુલ થશે, સ્ટેડિયમની સુરક્ષા માટે 1400 પોલીસ જવાનો ખડેપગે

વડોદરા શહેરમાં 15 વર્ષ બાદ આજે ફરી મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને વડોદરાના ક્રિકેટ રસીકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 1:30 વાગ્યાથી કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ રમાશે. જેમાં ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર સ્ટેડિયમ હાઉસફુલ થશે.વડોદરામાં છેલ્લે ઇન્ટરનેશનલ મેચ 4 ડિસેમ્બર 2010ના રોજ રમાઈ હતી, તે પણ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ઇન્ટરનેશનલ મેચ હતી. જેમાં ભારતનો 9 વિકેટે વિજય થયો હતો. ત્યારે ચાહકો આજે પણ ભારત જીતે તેમ ઇચ્છી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદિપ યાદવ સહિતના સ્ટાર ક્રિકેટરને રમતા જોવા માટે વડોદરાના ચાહકો તૈયાર છે. વડોદરામાં ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા હાઈ વૉલ્ટેજ મેચ માટે ખૂબ જ તૈયારીઓ કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસના 1400 જેટલા જવાનો મેચ દરમ્યાન ખડે પગે રહેશે. સમગ્ર ગ્રાઉન્ડમાં થ્રી લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ મેચ રમી રહ્યા હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સતત મેચ પર નજર રાખશે. મેચ દરમ્યાન ટ્રાફિક અને પાર્કિંગના પ્રોબ્લેમ ના આવે તે માટે ખાસ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ક્રિકેટરોની સુરક્ષા ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમ બહાર પાર્કિંગની વ્યવસ્થા જનરલ પાર્કિંગ ટુ વ્હીલર પાર્કિંગ - 5000ફોર વ્હીલર પાર્કિંગ - 4000 VIP પાર્કિંગ ટુ વ્હીલર અને ફોર વ્હીલર - 2700

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:32 am

મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનો વિરોધ:બોટાદ જિલ્લા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગરીબોના અધિકાર છીનવવાનો આરોપ લગાવ્યો

બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં કરાયેલા ફેરફારો અને નામ બદલવાની પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રમેશભાઈ શીલુએ આક્ષેપ કર્યો કે સરકાર મહાત્મા ગાંધીના નામથી ચાલતી યોજનાનું નામ બદલીને મોટું પાપ કરી રહી છે. મનરેગા યોજનામાં અગાઉ કેન્દ્ર સરકારનો હિસ્સો 90% અને રાજ્ય સરકારનો હિસ્સો 10% હતો. નવા ફેરફાર (વીબીજીરામજી કાયદા) મુજબ, કેન્દ્રનો હિસ્સો ઘટાડીને 60% અને રાજ્યનો હિસ્સો વધારીને 40% કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે કે જે રાજ્યો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે, તેઓ આ 40% રકમ નહીં આપી શકે તો શ્રમિકોને પૂરતી રોજગારી મળવી મુશ્કેલ બનશે. પ્રવક્તા શીલુએ જણાવ્યું કે આ ફેરફાર ગરીબ, શોષિત અને વંચિત લોકોના રોજગારીના અધિકાર છીનવવાનો પ્રયાસ છે. અગાઉ મનરેગા હેઠળ શ્રમિકો કામ ન મળે તો અરજી કરીને રોજગારની માંગણી કરી શકતા હતા. આ નવો નિયમ રદ થતા મજૂરોની 'રોજગાર ગેરંટી' હવે જોખમમાં મુકાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રમેશભાઈ શીલુએ વધુમાં જણાવ્યું કે આઝાદીની લડતમાં જે પક્ષનો કોઈ ફાળો નથી, તે પક્ષ હવે મહાત્મા ગાંધીનું નામ હટાવીને પોતાનું નામ લગાવી રહ્યો છે, જે સીધું જ રાષ્ટ્રપિતાનું અપમાન છે. તેમણે આ ફેરફારોને ગરીબ મજૂરોને પાયમાલ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:31 am

આજે શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને સંબોધશે વડાપ્રધાન:ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો સોમનાથ પહોંચ્યા, દ્વારકાથી આવેલી દીકરીઓએ મોદીજીને ગણાવ્યા પ્રેરણાસ્તોત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે છે. તેઓ અહીં શૌર્ય યાત્રા અને શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સોમનાથ પહોંચ્યા છે. વહેલી સવારથી જ સોમનાથ તરફ જનમેદની ઉમટી પડી હતી. દ્વારકા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત અનેક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને નાગરિકો વડાપ્રધાનને સાંભળવા અને તેમનું અભિવાદન કરવા આવ્યા હતા. સોમનાથ મંદિર પરિસરથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી ‘જય સોમનાથ’ અને ‘ભારત માતા કી જય’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દ્વારકા જિલ્લામાંથી આવેલી કેટલીક દીકરીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના વિચારો, નેતૃત્વ અને દેશ માટેના સંકલ્પો યુવા પેઢીને સતત પ્રેરણા આપે છે. આ કાર્યક્રમો ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાયા છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ગૌરવશાળી ઇતિહાસ, શૂરવીરોના બલિદાન અને રાષ્ટ્રના આત્મસન્માનને ઉજાગર કરવાનો છે. આ કાર્યક્રમો ધાર્મિક તેમજ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:30 am

નવસારીમાં ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ:મહાનગરપાલિકાની એપ લોન્ચ, કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ 2025નો સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટિલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનો, પરિવારો અને યુવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની વેબસાઇટ અને 'નવસારી કનેક્ટ' મોબાઇલ એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું. આ એપ્લિકેશન દ્વારા નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ વિશે માહિતી મેળવવામાં સરળતા રહેશે. આ સાથે જ, નવસારીના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસયાત્રાનો સમૃદ્ધ અભ્યાસ રજૂ કરતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરાયું. ઉદ્ઘાટન સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલે વિકાસ, સ્વચ્છતા અને જળસંચયને જનચળવળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નવસારી જિલ્લામાં થઈ રહેલા વિકાસ, જળસંચય અને સ્વચ્છતા ક્ષેત્રે થયેલી પ્રગતિની પ્રશંસા કરી. પાટિલે જણાવ્યું કે આ સિદ્ધિ સરકાર, વહીવટી તંત્ર અને નાગરિકોના સંકલિત પ્રયત્નોથી શક્ય બની છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હવે લોકોની જીવનશૈલીનો હિસ્સો બની રહી છે. તેમણે નવસારીને આવનારા દિવસોમાં દેશના સ્વચ્છ અને વ્યવસ્થિત નગરોમાં સ્થાન મેળવવા પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારીની સંગીત પ્રસ્તુતિ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપસ્થિત નાગરિકો, યુવાનો અને બાળકો સહિત સૌએ તેમના લોકગીતોને ઉત્સાહભેર માણ્યા હતા. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:28 am

વલસાડમાં ત્રિદિવસીય સંગીત-નૃત્ય મહોત્સવનો પ્રારંભ:કલાયતન અને શ્રી વત્સલ આશ્રમ દ્વારા કલા-સંસ્કૃતિનું સંવર્ધન

વલસાડ શહેરમાં કલાયતન અને શ્રી વત્સલ શિક્ષણ સંગીત આશ્રમના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય સંગીત અને નૃત્ય મહોત્સવનો પ્રારંભ થયો છે. વત્સલ આશ્રમ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમ કલા અને સંસ્કૃતિના સંવર્ધન હેતુ યોજાયો છે. મહોત્સવના પ્રથમ દિવસે સિતારવાદક અનુપમા ભાગવત અને સરોદવાદક અભિષેક લાહિરીએ અદભૂત જુગલબંધી રજૂ કરી હતી. તેમણે 'રાગ બિહાગ'થી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આલાપ, જોડ અને ઝાલા બાદ તીનતાલમાં ગત પ્રસ્તુત કરીને રાગને ઊંડાણપૂર્વક રજૂ કરાયો હતો. બંને કલાકારો અલગ-અલગ ઘરાનાના હોવા છતાં તેમના વાદનમાં સુમેળ જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ તબલા વાદક અભિષેક મિશ્રાએ તેમને સંગત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કલાયતનના પ્રમુખ ડૉ. મનીષ મોદીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. વિરલ ગાંધીએ કલાકારોનો પરિચય આપ્યો, જ્યારે તન્વીબેન મોદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું. મહોત્સવના બીજા દિવસે પ્રખ્યાત નૃત્યાંગના આરુષિ મુદ્ગલ અને તેમના વૃંદ દ્વારા ઓડિસી નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. આરુષિજીએ 'ગણેશ વંદના'થી પ્રારંભ કર્યો. તેમણે ગુરુ કેલુચરણ મહાપાત્રા દ્વારા નિર્બદ્ધ ઓડિસી નૃત્યની રચનાઓ પલ્લવી અને યદુ કુળની ભાવપૂર્ણ શૈલીમાં રજૂ કરી. તુલસીદાસજીની રચના ‘રામ હો... કોન જતન’ પરના તેમના નૃત્યના ભાવોએ પ્રેક્ષકો પર ઊંડી છાપ છોડી. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ઓડિસી વૃંદ નૃત્યની પ્રસ્તુતિ થઈ, જેમાં શલાખા રાવ, પ્રેમાનંદ સાહુ, ઉન્નતી ગુનીદાસ અને માહિકા કશ્યપ નૃત્યવૃંદમાં જોડાયા હતા. આ મહોત્સવે વલસાડના કલારસિકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:26 am

પારડી હાઈવે પર ચાલતી કારમાં આગ:શોર્ટ સર્કિટથી ભડકો, ચાલકની સમયસૂચકતાથી જાનહાનિ ટળી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં. 48 પર શનિવારે સાંજે એક ચાલુ સ્વિફ્ટ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પારડી તાલુકાના વેલપરવા ગામના વચલા ફળીયામાં રહેતા હેમંતભાઈ રામુભાઈ પટેલ કરમબેલી સ્થિત સેલો કંપનીમાં નોકરી કરે છે. શનિવારે સાંજે તેઓ પોતાની CNG કાર (નં. GJ-15-CH-3386) લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. સાંજે આશરે 6:45 વાગ્યાના સુમારે બગવાડા ટોલનાકા પાસે પહોંચતા જ કારના બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ સાથે જ ગાડીનો પિકઅપ પણ ઘટ્યો હોવાનું હેમંતભાઈએ અનુભવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તેમણે તાત્કાલિક કાર હાઈવેની સાઈડમાં ઊભી રાખી દીધી અને તેમાંથી બહાર ઉતરી ગયા. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, પારડી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કાર ચાલક હેમંત પટેલે જણાવાયું છે. હેમંતભાઈ દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટના બાદ હેમંતભાઈએ અન્ય વાહનચાલકોને તેમના વાહનોમાં પૂરતા પ્રમાણમાં ફાયર એક્સટિંગ્વિશર સહિતના સુરક્ષા સાધનો રાખવા અપીલ કરી હતી, જેથી આવી અચાનક પરિસ્થિતિમાં સંભવિત જાનહાનિ ટાળી શકાય. કાર ચાલકને ચાલુ કારમા પિકઅપ ઘટવું કે કઈ ક અજુકતું જણાય તો તાત્કાલિક કારને સુરક્ષિત જગ્યાએ અટકાવી કારમાંથી ઉતરી જવું અને ટેક્નિકલ ટીમની સમયસર મદદ લેવી જોઈએ તેવી અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 9:25 am

ઉપલેટાની ધરા ફરી ધ્રુજી:વહેલી સવારે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઉપલેટાથી 26 કિમી દૂર નોંધાયું

રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર (ISR) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 04:57 કલાકે 2.7ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા શહેરથી 26 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું હતું. તેની ઊંડાઈ જમીન સપાટીથી 12 કિલોમીટર નીચે હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિ નહીંવહેલી સવારે આંચકા અનુભવાયા હોવા છતાં, કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. મોટાભાગના લોકો ઊંઘમાં હોવાથી ઘણાને આ આંચકાનો ખ્યાલ પણ નહોતો આવ્યો. જોકે, કેન્દ્રબિંદુ નજીકના ગામડાઓમાં કેટલાક જાગૃત નાગરિકોએ હળવી ધ્રુજારી અનુભવી હતી. ભૂસ્તરશાસ્ત્રીઓ અનુસાર, સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનામાં ફોલ્ટ લાઈન્સ સક્રિય રહેતી હોવાથી આવા નાના આંચકા સામાન્ય છે. 2.7ની તીવ્રતાનો આંચકો ભયજનક નથી, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. બે દિવસ અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયાઉલ્લેખનીય છે કે 8મી જાન્યુઆરીની રાતથી 9મી જાન્યુઆરીની સવાર સુધી ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના 10થી વધુ આંચકા અનુભવાયા હતા. જે બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 26મી જાન્યુઆરી નજીક આવતા લોકોમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા કરી અપીલભૂકંપની સતત ગતિવિધિને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.તંત્રએ ખાસ કરીને જૂના અથવા જર્જરિત બિલ્ડિંગમાં રહેતા લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ. કોઈપણ જોખમી ઘટના બને તો તુરંત નગરપાલિકાને જાણ કરવી અને મેડિકલ ઈમરજન્સી માટે 108નો સંપર્ક કરવા જણાવ્યું છે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલહાલ ઉપલેટામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:54 am

વડોદરામાં દારૂ પીને કાર હંકારી અકસ્માત કર્યો:વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે બેફામ કાર ચલાવીને દિવાલ સાથે ટક્કર મારી, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો, મહિલાની ધરપકડ

વડોદરા શહેરમાં તાજેતરના સમયમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક ઘટનામાં એક મહિલા ચાલકે નશામાં ધૂત હાલતમાં ફુલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને દિવાલ સાથે કાર અથડાઈ હતી. ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.વડોદરા શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલા સારાભાઈ કેમ્પસમાં આ દુર્ઘટના બની હતી. મહિલા ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવતી વખતે કંટ્રોલ ગુમાવ્યો અને અકસ્માત કર્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ તુરંત જ પોલીસની જાણકારી હતી. આ સમયે હાજર લોકોમાં મહિલા સામે ભારે મળ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા ચાલક દારૂના પીધેલા હાલતમાં હતી અને તેને પૂરેપૂરો હોશ પણ નહોતો. જેથી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો છે તપાસ દરમિયાન મહિલા ચાલકને ઝડપી લેવામાં આવી છે અને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે. આ મામલે ગોરવા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. પકડાયેલ આરોપીનું નામ પ્રીયાબેન પત્ની યોગેશભાઈ ચતુર્વેદી (ઉંમર: 57 વર્ષ, સરનામું: એ/205, ફોર્ચ્યુન હાઇટ્સ, ન્યુ સમા રોડ, વડોદરા)ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રીંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા અકસ્માતોમાં લોકો જીવ પણ ગુમાવે છે. તેમ છતાં લોકો ડ્રીંક કરીને વાહન ચલાવે છે અને પોતાના અને બીજા લોકોના જીવ જોખમમાં મૂકે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:46 am

બુટલેગરનું દારૂ મુકવાની જગ્યા જોઈને તમે પણ ચકરાવે ચડી જશો:વડોદરામાં ચોર ખાનાવાળી બાઇકમાંથી વિદેશી દારૂના 188 ક્વાર્ટર મળ્યા, પેટ્રોલની ટાંકી ખોલતાની સાથે આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનની સતર્ક ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક હોન્ડા શાઇન બાઇકની પેટ્રોલ ટેન્ક અને સીટ નીચેથી વિદેશી દારૂના 188 ક્વાર્ટરીયા ઝડપી પાડ્યા છે અને બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ટાંકી ખોલતાની સાથે ટાંકી નીચે આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો જોઈ ચોંકી ગઈ હતી. છાણી પોલીસને બાતમી મળી હતી કે, ઓમકારપુરા તરફથી બાજવા ચેકપોસ્ટ તરફ એક હોન્ડા શાઇન બાઇકમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ લઈને જઈ રહ્યા છે. બાઇકની પેટ્રોલ ટાંકીમાં ખાસ ચોર ખાનું બનાવીને તેમાં દારૂની બોટલો ભરવામાં આવી છે. આ બાતમીને હકીકતમાં ફેરવતાં છાણી પોલીસની ટીમે સ્ટેશન સામેના રોડ પર વોચ અને તપાસ ગોઠવી. નિયત સમયે બાતમી પ્રમાણેની હોન્ડા શાઇન બાઇક (GJ-34-E-0375)ને રોકીને તપાસ કરવામાં આવી હતી. . તપાસમાં બાઇકની પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ચોર ખાનામાંથી 28,200 રૂપિયાની કિંમતના 180 મિ.લી.ની 188 પ્લાસ્ટિકની ક્વાર્ટર બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બે મોબાઇલ ફોન અને બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુલ 63,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓના નામ 1. ગોપાલભાઈ ચેતનભાઈ રાઠવા, રહે. : હોળી ફળિયું, લગામી ગામ, પો. ડોલરીયા, તા. જિ. છોટાઉદેપુર 2. અજયભાઈ ગોપાલભાઈ રાઠવા, રહે. : વચ્ચલું ફળિયું, ખોરવણીયા ગામ, તા. જિ. છોટાઉદેપુર ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પણ વડોદરામાં છાણી પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરીને હોન્ડા શાઇન મોટરસાઇકલની પેટ્રોલ ટાંકીમાં ખાસ ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બુટલેગરે બાઈકની ટાંકી અને સીટ નીચે ચોરખાનું બનાવીને વિદેશી દારૂના 144 ક્વાર્ટર છુપાવ્યા હતા. આ કાર્યવાહીમાં 64 હજાર રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરેશભાઈ નગીનભાઈ રાઠવા (ઉ.વ. 30, ધંધો : મજૂરી, રહે. પટેલ ફળિયું, પંડરવા ગામ, તા. જેતપુર પાવી, જિ. છોટાઉદેપુર) અને રણજીતભાઈ ભરતભાઈ રાઠવા (ઉ.વ. 29, ધંધો : મજૂરી, રહે. પટેલ ફળિયું, સજુલી ગામ, તા. જેતપુર પાવી, જિ. છોટાઉદેપુર) ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 8:22 am

ભૂમિ પૂજન:કાનીયાડ ખાતે રૂ.1.45 કરોડના ખર્ચે PHCનું ભૂમિપૂજન કરાયું

બોટાદ તાલુકાના કાનીયાડ ગામે રૂ.1.45 કરોડના ખર્ચે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી ભુપતભાઈ મેર, બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બકુલભાઈ શેઠ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર, કાનીયાડ ગામના સરપંચ અને તલાટી મંત્રી, બોટાદ તાલુકાના સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો રાજકીય આગેવાનો, તેમજ કાનીયાડ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:32 am

શનિ યજ્ઞનું આયોજન:બોટાદના હનુમંત શનિદેવ મંદિરમાં શનિ યજ્ઞ યોજાયો

બોટાદ શહેરના તુરખા રોડ સ્થિત હનુમંત શનિદેવ મંદિર ખાતે બોટાદ શહેરના સમસ્ત ભૈયા સમાજ દ્વારા શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૈયાજી સમાજ દ્વારા શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત ભૈયાજી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને યજ્ઞ કરી પૂજા વિધિ કરી ધન્યતા અનુભવી હતી. ગ્રહ દશામાંથી મુક્તિ મેળવવા લોકો શનિદેવના શરણે આવે છે હનુમંત શનિદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ શનિ દેવ યજ્ઞ વિશે મંદિરના મહંત જમનાદાસ બાપુ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે બોટાદ શહેરના સમસ્ત ભૈયા સમાજ દ્વારા દર વર્ષે શનિદેવ યજ્ઞનું આયોજન કરાય છે. તેમજ ભૈયા સમાજ દ્વારા ગાયોને નિરણ, ખોળ,દાણ આપવામાં આવે છે તેમજ સાધુ સંતોને ભેટ પૂજા આપી સન્મા નિત કરાય છે. ગ્રહ દશામાં થી મુક્તિ મેળવવા માટે શનિદેવના શરણે લોકો આવે છે ત્યારે બોટાદ શહેરના સમસ્ત ભૈયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યજ્ઞનું તેમજ પ્રસાદનું આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:29 am

108 સેવા અંગે ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો:બોટાદની કોલેજમાં આપત્તિમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ અપાયો

બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, બોટાદ દ્વારા ફાયર સેફટી તથા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અંગે વિશેષ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, બોટાદ ખાતે ફરજ બજાવતા ડિસ્ટ્રી કટ પ્રોજેક્ટ ઓફિસર મેહુલ બોટાદરા દ્વારા કોલેજનાં વિદ્યાર્થી ઓ તથા સ્ટાફને આપત્તિની પરિસ્થિતિમાં જાનહાની કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સ્વ- બચાવ ના ઉપાયો, અન્ય લોકોને સુરક્ષિત રીતે મદદરૂપ થવાની રીતો તેમજ અગ્નિશમન માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ સાધનો દ્વારા આગને કેવી રીતે બુઝાવવી તેની પ્રાથમિક માહિતી આપી હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. અને પાયલોટ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ગ્લુકોમીટર, થર્મોમીટર, સ્પાઇન બોર્ડ, બીપી મશીન, એ.ઈ.ડી. મશીન, ફર્સ્ટ એડ બોક્સ તથા ડ્રેસિંગ સંબંધિત સાધનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે 108 ઇમરજન્સી સેવાઓની કામગીરી, ઇમર જન્સી મેનેજમેન્ટ પ્રક્રિયા, પેશન્ટની પ્રાથમિક તપાસ, દર્દી રેસ્ક્યુ કરવાની પદ્ધતિ તેમજ સી.પી.આર. (CPR)નું પ્રાયોગિક પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારનાં ઉપયોગી અને જાગૃતિ સભર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં આપત્તિ સમયે સચેતતા અને તૈયારીનો ભાવ વિકસે તે સાથે સમાજમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:28 am

કાર્યવાહી સામે નાના વેપારીઓનો વિરોધ:તળાજામાં શાકમાર્કેટમાં ગીચતાના પ્રશ્ને પોલીસની કાર્યવાહી

તળાજામાં શાક માર્કેટના નાના વેપારીઓએ ટ્રાફિક નિયમન કાર્યવાહી સામે પોલીસ મથકે રજૂઆત કરી હતી. બકાલાનું વેચાણ કરતા વેપારીઓ પોતાના ધંધાને અસર થતી હોવાનો દાવો કરી પોલીસ અધિકારીને મળવા પહોંચ્યા હતા. તળાજા શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત દુકાનોની ઉપરની સાઇડ બાંધવામાં આવેલા પડદા અને આડેધડ રાખવામાં આવતી લારીઓ હટાવી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી નાના વેપારીઓના ધંધા પર મોટી અસર થઈ રહી હોવાનું તેમનું કહેવું છે. આથી તેમણે એકઠા થઈને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પોતાની મુશ્કેલીઓ વર્ણવી હતી. તળાજા નગર મધ્યે એકમાત્ર શાકમાર્કેટ આવેલ છે.આ શાકમાર્કેટની અંદર પોતાની દુકાનો હોવા છતાંય મોટાભાગના લોકો રોડ ઉપર પાંચ-દસ ફૂટ સુધી પથરણા પાથરી,બાકડાઓ ગોઠવીને,લારીઓ ઉભી રાખીને શાક બકાલાથી લઈ જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ કરતા હતા. મનફાવે તે રીતે રોડ વચ્ચોવચ્ચ દબાણ કરવાની સાથે તડકો અને વરસાદ થી બચવા માટે પડદાઓ પણ રાહદારીઓ, વાહન ચાલકોને નડે તે રીતે બાંધતા હતા.જેના કારણે અહીં લાગેલ અમુક સીસીટીવી કેમેરા નકામા થઇ જતા હતા. ગુનાઇત ઘટના બને ત્યારે સીસીટીવી કેમેરા કામ લાગતા ન હતા.આ ફરિયાદ જિલ્લા પોલીસ વડા સુધી અનેકોનેક વખત પહોંચી હતી અમો રસ્તા પર બેઠા છીએ પડદા બાંધવા દયો વેપારીઓની આજીજી ન ચાલીવેપારીઓએ સંગઠિત થઈને પડદા બાંધવા દયો, અમારું શાક,ફ્રુટ તડકાના કારણે બગડી રહ્યું છે.અમો અહીં માંડ દા'ડી રળીએ છીએ.જોકે આ શબ્દો કહેનાર લાખ્ખો રૂપિયાની દુકાન ધરાવે છે. પો.ઇ પણ આ બાબત જાણતા હોય જાહેરમા જ સૌને જણાવી દીધું હતું કે તમો ગીચતા ઉભી કરો છોને ગુણાઈત ઘટના બને ત્યારે જવાબ અમો પોલીસને દેવા પડે છે. કોઈ દબાણ કરશે કે પડદા બાંધશે તો તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:18 am

રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું:સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ હોસ્પીટલનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ભાવનગર : ભાવનગર શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક રાષ્ટ્રીય હોમિયોપેથિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના અવસરે દેશભરમાંથી હોમિયોપેથી ક્ષેત્રના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાં હતાં. આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય હોમિયોપેથિક સંસ્થાન, કોલકાતાના પૂર્વ ડાયરેક્ટર અને સમગ્ર ભારતમાં 'Teachers of the Teachers' તરીકે જાણીતા એવા ડો.સુભાસ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સેમિનારમાં હાજર રહેલા સંશોધનકારો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ગહન સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય વિષય ઓર્ગેનન ઓફ ફિલોસોફી રાખવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને હોમિયોપેથીના ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી તેનું સચોટ શિક્ષણ આપવું, હોમિયોપેથિક વિજ્ઞાન દ્વારા અસાધ્ય રોગોમાં કેવી રીતે ચમત્કારિક પરિણામો લાવી શકાય અને દર્દીઓને સાજા કરી શકાય તેનું જ્ઞાન આપવું, 25 વર્ષની સંસ્થાની સફળ સફરને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાડવો, 25 વર્ષની મંજિલ પૂર્ણ થયા બાદ આ પ્રકારના રાષ્ટ્રીય સ્તરના સેમિનારથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું એક્સપોઝર મળે છે. આ સેમિનાર આગામી પેઢીના હોમિયોપેથિક તબીબો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે. ડો.પિનાકિન ત્રિવેદીએ જણાવ્યું હતું ​હોમિયોપેથી એ વિશિષ્ટ પ્રકારની ટ્રીટમેન્ટ પદ્ધતિ છે કે જેમાં એક્યુટ, ક્રોનિક, સબ-એક્યુટ દરેક પ્રકારની સાયકોસોમેટિક કન્ડિશન, દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ​આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજના ડો.ગીરીશભાઈ વાઘાણી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડો.ચિન્મય શાહ, ડો.કાનાણી, યુનિવર્સિટીના સભ્યો તેમ જ ભારતભરની વિવિધ કોલેજના અગ્રણીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:15 am

વેધર રિપોર્ટ:સાંજે 12 કિ.મી.ની ઝડપે બર્ફિલા પવનથી શહેરમાં ઠંડીની તીવ્રતા વધી

ભાવનગર શહેરમાં છેલ્લાં બે દિવસ ઉત્તરના બર્ફિલા પવન 10 કિલોમીટરથી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતા હોય અને સાથે તાપમાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું રહેતું હોય શહેરમાં શિયાળો અસલી મિજાજમાં આવી ગયો છે. જેથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી હજી ઠંડીની તીવ્રતા વધે અથવા યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે પુન: વધીને 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે આખો દિવસ શહેરમાં શિયાળાની અસરનો અનુભવ થયો હતો. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 13.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધુ ઘટીને 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા હતુ તે સાંજે ઘટીને 35 ટકા થઇ ગયુ હતુ. જ્યારે સવારે પવનજી ઝડપ 10 કિલોમીટર હતી તે સાંજે વધીને 12 કિલોમીટર થઇ ગઇ હતી. જેથી મોડી સાંજ અને રાતે ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. હાલમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી રહી છે. ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ પર્વે હોય તેવા 10થી12 કિ.મી.ની ઝડપે ઉત્તર દિશામાંમથી પવન ફૂંકાવવાનો પ્રારંભ બે દિવસથી શરૂ થતા ઠંડીની તીવ્રતા વધી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:15 am

આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026:13મી જાન્યુઆરીથી આત્મનિર્ભર હણોલ મહોત્સવનો આરંભ થશે

પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. 13મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામીણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ મહોત્સવમાં ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી ઉપરાંત કપિલ દેવ, પી.ટી.ઉષા સહિતના ખેલાડીઓ ભાગ લેશે. મહોત્સવના વિવિધ દિવસોમાં કૃષિ, ગ્રામીણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા, તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મહોત્સવના દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે, જે ગ્રામિણ જીવન સાથે તેમની સીધી જોડાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક પરિસંવાદ યોજવામાં આવશે, જેમાં ખેડૂતોને કુદરતી ખેતીના લાભો, અનુભવ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે રાજ્યપાલ પ્રભાત ફેરીમાં ગ્રામજનો સાથે જોડાશે તેમજ ગ્રામ સફાઈ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપશે. ગુજરાતના રાજ્યપાલ સાથે સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, તેમજ રામાયણમાં રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ પણ મહોત્સવને ગૌરવ આપશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:14 am

દોરીથી થતાં અકસ્માત નિવારવા આયોજન:PGVCLની 64 ટીમો મકરસંક્રાંતિએ સુરક્ષા અને સલામતી માટે તૈનાત રહેશે

મકરસંક્રાંતિના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષથી અકસ્માતોની સંખ્યા વધતી જોવા મળે છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં વીજળીના જીવતા તારમાં પતંગના દોરા ફસાવાથી બનતા વિજળીને લગતા અકસ્માતો અને ફોલ્ટને નિવારવા મકરસંક્રાંતિના દિવસે PGVCL ભાવનગર સર્કલમાં 64 ટીમો તૈનાત રહેશે. ભાવનગર સર્કલમાં ભાવનગર શહેરની 10 સહિત ભાવનગર જિલ્લાની કુલ 32 સબ ડિવિઝન કચેરીઓમાં મકરસંક્રાંતિના તહેવારને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. PGVCLની સબ ડિવિઝન કચેરીઓમાં રાબેતા મુજબ ત્રણ શિફ્ટમાં એક-એક ટીમો કાર્યરત રહેતી હોય છે ત્યારે મકરસંક્રાંતિના દિવસે વધારાની એક ટીમોના ઉમેરા સાથે કુલ 64 ટીમો તૈનાત કરાઈ છે. અકસ્માત નિવારણ સાથે સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દરેક સબ ડિવિઝનમાં વાહન સાથે એક ડેપ્યુટી એન્જિનિયર, એક જુનિયર એન્જિનિયર સહિત વધારાના 96 કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. મકરસંક્રાંતિના દિવસે સતત મોનિટરિંગ ચાલુ રહેશેવીજળીના જીવતા તારમાં પતંગની દોરી ફસાવાથી કેટલાક કિસ્સામાં અકસ્માત બનવાની સંભાવના રહેતી હોય છે ત્યારે વિજળીને લગતા અકસ્માતો અને ફોલ્ટને નિવારવા મકરસંક્રાંતિના દિવસે સતત મોનિટરીંગ ચાલુ રહેશે. - યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, PGVCL ભાવનગર વર્તુળ કચેરી અકસ્માત નિવારવા તુરંત PGVCLનો સંપર્ક કરવોમકરસંક્રાંતિના દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. જેમાં વીજળીના જીવતા તારમાં પતંગની દોરી ફસાવાથી જીવલેણ અકસ્માત બનવાની સંભાવના રહેતી હોય છે ત્યારે લોકોએ અકસ્માત નિવારવા તુરંત PGVCLનો સંપર્ક કરવો જોઈએ. PGVCLના ફોલ્ટ સેન્ટર ઉપરાંત ટોલ ફ્રિ નંબર 1922 અથવા 1800-233-155-333 તેમજ વોટ્સએપ નંબર 95120-19122 પર ફરિયાદ કરી શકાય છે. પતંગના દોરાથી થતા અકસ્માતો અને ફોલ્ટ નિવારવા આયોજન

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:13 am

ઓછા ખર્ચે અધધ ફાયદો:રાસાયણિકની તુલનામાં પ્રાકૃતિક કૃષિમાં દોઢા ભાવ મળ્યા

ખડસલીયા ગામના 30 વર્ષીય કૃષિકાર સંજયભાઈ રઘાભાઈ ડાભી પ્રાથમિક શિક્ષણ લઇ કુટુંબની આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન કરી શકયા અને કુટુંબનો ખેતી વ્યવસાય અપનાવ્યો. જીવનના 3 વર્ષ રાસાયણિક ખેતીના અનુભવથી સરવાળે ઉત્પાદન અને ઉત્પાદકતા ઘટી. આ સંજોગોમાં આ વિસ્તારના ખેડૂત આગેવાન અને પ્રાકૃતિક ખેતી જૂથ મીઠી વીરડીના ભરતભાઈ જાંબુચાના માર્ગદર્શનથી ખેડૂત જુથમાં જોડાઈને પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની રચના કરી. અને ખેડૂત હાટ શરુ કર્યું. ખેત ઉત્પાદનો આ હાટ પરથી વેચણ કરવાનું ચાલુ કરતા ટ્રાન્સપોર્ટ, દલાલ કમીશન, વજન, વિગેરેના ખર્ચમાં સીધો ફાયદો થયો. વીઘે વાર્ષિક 35થી 40 હજાર ખર્ચની જગ્યાએ ખર્ચમાં ઘટાડો થયો અને માત્ર 12 હજાર ખર્ચ પ્રતિ વીઘે થયો. ત્રીજા ભાગના ઓછા ખર્ચમાં ખેતી શક્ય બની. સામે ઉત્પાદનના યોગ્ય ભાવો મળતા થયા, એટલે કે રાસાયણિક ઉત્પાદનના બજાર કરતાં દોઢ ગણા ભાવ મળ્યા. સંજયભાઈ જણાવે છે કે ડુંગળી સતત 3 વર્ષ ન થઇ. બીજા કેટલાક પાકો પણ ફેઈલ થયા. વારંવાર નિરાશા આવતા એક તબક્કે ખેતી છોડી બીજા વ્યવસાયમાં જવાનું વિચાર્યું. પણ ખેતીમાં જ આનો કોઈ ઉપાય શોધવા વાંચન અને નિદર્શન વધાર્યું. ખર્ચ વગરની પશુ આધારિત પરંપરાગત ખેતી કે જેમાં ઓછામાં ઓછા ખેતર બહારના ઈનપુટ અને ખર્ચ કરવા પડે તેવો ઉપાય છે જ તેવું જાણ્યું અને તે દિશામાં કામ કરતા ખેડૂતો પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી જોખમ લેવાની ક્ષમતા નહીં હોવાથી વર્ષ-2019-20થી આ અખતરો પોતાના કુલ જમીન પૈકી ચોથા ભાગમાં કર્યો. શરૂઆતના દોઢ વર્ષમાં નબળું ઉત્પાદન મળ્યું, નિરાશા આવવા માંડી હતી, ત્યાં જમીન સુધરતી જણાય. ભવિષ્યમાં અપેક્ષા અનુસારના ઉત્પાદન થશે તેવી અપેક્ષા બંધાઈ અને બીજા જ વર્ષથી પાકની તંદુરસ્તી અને ઉત્પાદન સારું અને બમણું થયું. હિમ્મત બંધાઈ તેથી પોતાની બધી 5 વીઘા જમીન ઓર્ગેનિક ખેતી હેઠળ આવરી લીધી. ટકાઉ ખેતી અને ઉત્પાદનનું ઉદાહરણ પ્રસ્તૂત કર્યુશાકભાજી, અનાજ , કઠોળ જેવા રૂટીન પાકો ઉપરાંત કંટોળા, સુગંધી ઘાસ, તુરિયા, ગલકા, સરગવા જેવા નવા પાકોના વાવેતર કરીને ટકાઉ ખેતી અને ઉત્પાદનનું બેનમુન ઉદાહરણ ઉભું કર્યું. ખેત ઉત્પાદન માર્કેટમાં વેચવાથી થતા નુકશાન નિવારવા ગ્રાહકને સીધું વેચવા પર ધ્યાન આપ્યું. ભાવનગર અને અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં ઉત્પાદનોની સીધી ગ્રાહક માંગ ઉભી કરવામાં સફળતા હાંસલ કરી. આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીનો પુરસ્કાર મળ્યોસંજયભાઈને ખેતીમાં સફળતા હાંસલ થતાં જિલ્લાના આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીનો સન્માન પુરસ્કાર મળ્યો. શરૂઆતના ઘરના સભ્યોના અસહકારની જગ્યાએ પુરતો સહકાર અને સંતોષ પ્રાપ્ત થયો.ખેતીમાં વેલ્યુ એડિશન કરી બજાર ઉભું કરી પૂરતા ભાવો મેળવ્યા. એવોર્ડ અને બહુમાન મેળવ્યા.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:12 am

અલંગના ઉદ્યોગને મોટો ફાયદો થવાની સંભાવના:પ્રતિબંધિત શિપ અલંગ યાર્ડમાં લાવવાની તૈયારી

વિશ્વભરમાં જૂના અને અમેરિકા સહિતના દેશો દ્વારા પ્રતિબંધિત જહાજો (Sanctioned Fleet) દ્વારા ઉભા થતા પડકારનો સામનો કરવા માટે કડક નિયમનકારી દેખરેખ હેઠળ પ્રતિબંધિત જહાજોને રીસાયક્લિંગ માટેના નિયમો, કાયદા સરળ બનાવવા માટે એક માળખાગત લાઇસન્સિંગ વિન્ડોની સ્થાપના કરવાની દિશામાં હિલચાલ ચાલી રહી છે. પ્રતિબંધિત જહાજોને અલંગમાં લાવવાનો કાયદેસરનો રસ્તો ખુલી જશે તો ઢગલાબંધ જહાજો પોતાની અંતિમ સફર ખેડવા માટે કતારમાં ઉભા છે અને તેનો સીધો લાભ અલંગ શિપ રીસાયકલિંગ વ્યવસાયને થઇ શકે તેમ છે. રીસાયકલિંગ માટે મોકલવામાં આવતા જહાજોના કેશ બાયર GMS (ગ્લોબલ માર્કેટિંગ સિસ્ટમ્સ)ના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ.અનિલ શર્માએ જણાવ્યુ હતુ કે, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયન સહિતની સરકારોને એક એવા માળખા પર સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે, જે પ્રતિબંધિત જહાજોને ઘણીવાર ગૌણ પ્રતિબંધોના ડરને કારણે પરંપરાગત રીસાયક્લિંગ બજારોમાંથી પ્રતિબંધિત, સુરક્ષિત રીતે અને કાયદેસર રીતે તોડી પાડવાની મંજૂરી આપે. નિયમનકારો આ મુદ્દાને અવગણી શકતા નથી, શર્માએ ચેતવણી આપતા કહ્યું કે જૂના, સંભવિત જોખમી જહાજો દરિયામાં કાર્યરત રહે છે અને જો તેને સમયાંતરે તપાસવામાં ન આવે તો પર્યાવરણીય અને સલામતીના જોખમો ઉભા કરે છે. તમામ દરિયાઈ સંસ્થાઓ, IMO, ICS, ઇન્ટરટેન્કો, ઇન્ટરકાર્ગો, BIMCO અને અન્યોને આ પહેલને ટેકો આપવા માટે પણ એક પ્લેટફોર્મ પર આવવા અમે પ્રોત્સાહિત કરીએ છીએ. એક જવાબદાર માર્ગ અસ્તિત્વમાં છે. તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, તેમ શર્માએ ઉમેર્યું હતુ. વૈશ્વિક દરિયાઈ ઉદ્યોગ, વિસ્તરતા શેડો ફ્લીટ, જૂના ટેન્કર અને કાર્ગો જહાજો જે પશ્ચિમી દેશોની દેખરેખની બહાર કાર્યરત છે અને ભંગાણાર્થે મંજૂરી મળે તેની પ્રતિક્ષામાં છે. દરિયાઈ ડેટા નિષ્ણાતોના મતે, આ શિપ રીસાયક્લર્સ, ખાસ કરીને ગુજરાતમાં અલંગ જેવા મુખ્ય રીસાયક્લિંગ હબમાં, મુશ્કેલ સ્થિતિમાં ફસાયેલા છે. જ્યારે સ્ક્રેપ સ્ટીલ અને ડાઉનસ્ટ્રીમ ઔદ્યોગિક પ્રવૃત્તિની માંગ ઊંચી રહે છે, ત્યારે રીસાયકલર્સ પશ્ચિમી નિયમનકારો તરફથી શિક્ષાત્મક પગલાં આકર્ષિત થવાના ડરથી પ્રતિબંધિત જહાજો લેવાથી સાવચેત રહે છે. HKCનો કરાર કરનાર પક્ષ, ભારત, નિયમનકારી રીસાયક્લિંગ કામગીરીનું આયોજન કરવા માટે સારી સ્થિતિમાં છે. તેની પાસે પહેલાથી જ 110 થી વધુ HKC-અનુરૂપ શિપ રીસાયક્લિંગ યાર્ડ છે જે વૈશ્વિક સલામતી અને પર્યાવરણીય ધોરણો અનુસાર આવા શિપ રીસાયકલિંગને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. દરિયાઈ સલામતી, પર્યાવરણીય જવાબદારી અને રીસાયક્લિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આર્થિક ઉપયોગને સંતુલિત કરવાની તાકીદ પણ કરાઈ છે. શું છે પ્રસ્તાવિત લાઇસન્સિંગ વિન્ડો?આ મડાગાંઠને તોડવા માટે, GMSએ છ મહિનાની ટ્રાયલ લાઇસન્સિંગ વિન્ડોનો પ્રસ્તાવ મૂક્યો છે, જે દરમિયાન સેન્કશન્ડ શેડો ફ્લીટ જહાજોને નિયંત્રિત સિસ્ટમ હેઠળ રીસાયકલ કરી શકાય છે. આ યોજના નિયમનકારોને દેખરેખ, પારદર્શિતા અને અમલીકરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખશે, જેમાં જરૂર મુજબ દંડ અથવા નિયંત્રણો લાદવાનો વિકલ્પ પણ શામેલ છે. આવી વિન્ડો ભારતીય રિસાયક્લિંગ ક્ષમતાને સક્રિય રાખવામાં, રોજગાર ટકાવી રાખવામાં અને લોજિસ્ટિક્સ અને સાધનોના પુનઃઉપયોગ જેવા સંબંધિત ક્ષેત્રોને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. 1400થી વધુ શિપ શેડો ફ્લીટમાં સામેલશેડો ફ્લીટમાં હવે 1,400થી વધુ જહાજોનો સમાવેશ થાય છે, જેમાં વિશ્વના ટેન્કર ફ્લીટના લગભગ 17% આ જૂથના ભાગ રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર 2025ના રોજ, યુરોપિયન યુનિયને રશિયન શેડો ફ્લીટ સાથે જોડાયેલા વધારાના 41 જહાજો પર પ્રતિબંધક પગલાં લાદ્યા, જેનાથી ઇ.યુ.ના પ્રતિબંધિત જહાજોની સંખ્યા લગભગ 600 થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:11 am

સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:કોન્ટ્રાક્ટરને ફાયદો, કોર્પો.ને નુકસાન કર્તા ટેન્ડરો પર બ્રેક લાગશે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કામો કરવામાં આવે છે તેનું ટેન્ડર લાખો કરોડો ચૂકવી કન્સલ્ટન્ટ પાસે બનાવવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં ગંભીર ક્ષતિઓ અને કોર્પોરેશનને નુકસાનકારક જોગવાઈઓ કરવામાં આવે છે. જેથી કમિશનર દ્વારા ટેન્ડર રીવ્યુ કમિટીની રચના કરી અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. વિકાસ કામોમાં ટેન્ડર મુખ્ય ભજવે છે. કોઈપણ સુવિધા કે કામ માટે ટેન્ડરની જોગવાઈઓ પર આધાર હોય છે. પરંતુ કોર્પોરેશન પાસે નિષ્ણાંત અધિકારીઓનો અભાવ અથવા તો અધિકારીઓ કામને પહોંચી શકવામાં સક્ષમ નહીં હોવાની શક્યતા સાથે ટેન્ડર બનાવવાનું પણ કામ કન્સલ્ટન્ટ એજન્સીઓને નાણાં ચૂકવી સોંપવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં કન્સલ્ટન્ટ એજન્સી એર કન્ડિશનની ચાર દીવાલ વચ્ચે સ્થળ સ્થિતિ જાણ્યા વગર ટેન્ડર અને ડીપીઆર બનાવવામાં આવતા હોવાનું પ્રતિપાદિત થાય છે. કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરને ફાયદા કરાવતી અને કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડતી તેમજ પ્રજાના કામો ટલ્લે ચડાવતી જોગવાઈઓ બહાર આવતા વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તે બાબતે ઉધડો લેવામાં આવે છે. જ્યારે કમિશનર દ્વારા ટેન્ડરમાં ગંભીરતા લાવવા માટે ટેન્ડર રીવ્યુ કમિટીની રચના કરવામાં આવી છે. નાયબ કમિશનર એડમીનના અધ્યક્ષતામાં અધિકારીઓની કમિટીની રચના કરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા તમામ ટેન્ડર કમિશનરની મંજૂરીમાં રાખતા પહેલા ટેન્ડર રીવ્યુ કમિટી સમક્ષ ટેન્ડરના વિવિધ પાસાઓ અને ગુણદોષ બાબતે અભ્યાસ કરી રજૂ કરવા તેમજ કમિટીએ દરેક કામકાજના દિવસે એકવાર ફરજિયાત પણે બેઠક કરી કોઈપણ ટેન્ડરનો રીવ્યુ કમિટી કક્ષાએ મોડું ન થાય તે માટે પણ સુચના આપી છે. ભૂતકાળમાં ટેન્ડરમાં કન્સલ્ટન્ટ દ્વારા તો ગંભીર ભૂલો કરવામાં આવી છે પરંતુ એ ભૂલોને સુધાર્યા વગર વિભાગ દ્વારા સક્ષમ સત્તાએ મોકલી મંજૂરીની મહોર પણ લગાવવામાં આવી છે. જેથી કમિશનર દ્વારા હવે તે ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે પગલા લેવામાં આવ્યા છે. ટેન્ડર રિવ્યુ કમિટીમાં કોની કોની કરી નિમણૂકટેન્ડર રીવ્યુ કમિટીમાં નાયબ કમિશનર એડમીન અધ્યક્ષ રહેશે અને એડિશનલ સિટી એન્જિનિયર સહ અધ્યક્ષ જ્યારે બિલ્ડીંગ વિભાગ, ટાઉન ડેવલોપમેન્ટ, ડ્રેનેજ અને વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર કમિટીના સભ્ય તેમજ સંબંધીત વિભાગના શાખા અધિકારી સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. કન્સલ્ટન્ટ ટેન્ડર બનાવવાના 2 કરોડ ચૂકવ્યા બાદ ગંભીર ક્ષતિસોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટેમ્પલ બેલની સુવિધાના કામનું ટેન્ડર બનાવવા માટે કન્સલ્ટન્ટ ને બે કરોડની ફી ચૂકવી હતી. પરંતુ કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરમાં અવાસ્તવિક શરતો મૂકવામાં આવી હતી જે કોન્ટ્રાક્ટરને તો ફાયદો કરાવતો હતો પરંતુ કોર્પોરેશનને નુકસાનકર્તા હતી. ટેન્ડરની શરતો મુજબ કોન્ટ્રાક્ટર ગમે તેટલી ભૂલો કરે અથવા તો ગંભીર બેદરકારીઓ કરે છતાં 10% થી વધુ પેનલ્ટી લઈ શકાતી નથી. તેમજ 7 વર્ષના ટેન્ડરમાં એક વર્ષની જ ડિપોઝિટ વસુલાઈ હતી. 10 વર્ષમાં કન્સલ્ટન્ટને રૂપિયા 16.90 કરોડ ચૂકવ્યાભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બનાવવા માટે કન્સલ્ટન્ટ અને કરોડો રૂપિયા ચૂકવે છે. છેલ્લા દસ વર્ષમાં બિલ્ડીંગ વિભાગોના કામ માટે 1.63 કરોડ, રોડ વિભાગના કામો માટે 2.45 કરોડ, યોજના વિભાગ માટે 1.09 કરોડ, વોટર વર્કસ વિભાગ માટે 45.26 લાખ અને ડ્રેનેજ વિભાગ માટે 1.36 કરોડ કન્સલ્ટન્ટ અને ફી ચૂકવવામાં આવી છે. કરોડોની ફી ચૂકવ્યા બાદ પણ ટેન્ડરમાં ગંભીર ક્ષતિઓ કરતી કન્સલ્ટન્ટ એજન્સીઓ સામે રિવ્યુ કમિટીની રચના એક્સક્લુઝિવ

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:09 am

આપઘાત:હેડકવાર્ટરની મહિલા પોલીસ કર્મચારીની 21 વર્ષીય પુત્રીનો ફાંસો, કારણ અકબંધ

પીપલોદ વિસ્તારમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીની યુવાન પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બીકોમનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પીપલોદ પોલીસ લાઈન ખાતે રહેતા રેખાબેન દિલીપભાઈ વસાવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ સેન્ટઝેવીયર્સ સ્કૂલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. તેમનો એક પુત્ર વડોદરા ખાતે ફાયરમેન તરીકે નોકરી કરે છે. જ્યારે તેમની 21 વર્ષીય પુત્રી નિતીક્ષા દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે બપોરે નિતીક્ષાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે નિતીક્ષાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં ગોડાદરા સુડા સહકાર આવાસ ખાતે રહેતો 18 વર્ષીય હર્ષ મનોહર પરાતે માર્કેટમાં સાડી પેકીંગનું કામ કરતો હતો. શુક્રવારે બપોરે તેણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હર્ષે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:02 am

MD ડ્રગ્સ કેસ:લેબ માલિક ઇશા અણઘણની 5 કલાક પૂછપરછ, મોબાઇલ FSL મોકલાશે

પરવટ પાટિયા પર પોલારીસ શોપિંગ સેન્ટરમાં એસઓજીએ ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડી પાડયું હતું. આ ગુનામાં લેબ માલિક ઈશા અણઘણની શનિવારે 5 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી. ઈશા પાસેથી કેટલીક ચોંકાવનારી મહત્વની માહિતી પોલીસને મળી છે. ઈશાનો ફોન FSLમાં મોકલાશે. ઈશાએ લેબ માટે NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ)ના લાયસન્સ માટે અરજી કરી હતી. પરંતુ લાયસન્સ આવે તે પહેલા તેણીએ લેબ શરૂ કરી નાખી હતી. ઈશાના વોટસએપ પર લંડનમાં રહેતા મુખ્ય સૂત્રધાર જનક જાગાણીની ચેટ મળી હતી. આ ચેટમાં જનકે ઈશાને કહ્યું કે તારી લેબમાં જે ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તેના પર તું બ્રિજેશને રિસર્ચ કરવા દેજે, સાથે લેબના 12 હજારના ભાડા બાબતે જનકે વાત કરી હતી. ઉપરાંત ઈશાનો લંડનમાં મકાન છે તે જનક ભાડેથી લેવા માંગતો હતો. જનક તેનું મકાન પણ જોવા ગયો હતો. જનક સાથે ઈશાની છેલ્લા એક વર્ષથી વોટસએપ પર વાતચીત કરતા હતા. એસઓજીના સ્ટાફે લગભગ 15-20 જેટલા ચેટના સ્કીનશોર્ટ મેળવ્યા છે. લાયસન્સ વિના કેમિકલ અપાયુંલેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે સૂત્રધાર બ્રિજેશ ભાલોડીયા ભરૂચ અને અંકલેશ્વરથી કેમિકલના વેપારી જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરી કોરડીયા(રહે,અંકલેશ્વર) પાસેથી કેમિકલ લાવ્યો હતો. જેનું પણ એસઓજીએ નિવેદન લીધું છે. લાયસન્સ વગર તેણે બ્રિજેશને કેમિકલ આપ્યું હતું. જેથી આગામી દિવસમાં કેમિકલના વેપારી જીતેન્દ્ર સામે પણ ગાળીયો ફીટ થાય શકે તેમ છે

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:01 am

આદિદેવ હોલીડે ટૂરના સંચાલક સામે ગુનો નોંધાયો:નેપાળ પ્રવાસે લઇ ગયેલા ટૂર ઓપરેટરે 44 લોકોને બનારસમાં રઝળતા મૂક્યા

અલથાણના આદિદેવ હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે એક પરિવારના 44 લોકોની ટુર ગોઠવી આપ્યા બાદ રસ્તો બંધ હોવાનું કહીને અડધેથી ટુર અટકાવી દઇને બાકીના રુ.5.28 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ ચોક બજાર પોલીસમાં નોંધાઇ છે. અડાજણ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલી ભગવાન પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઇ સત્યનારાયણ જોશી અનાજ દળવાની ઘર ઘંટી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. વર્ષ 2022માં સંજયભાઇ અને કુટુંબીઓએ ફરવા જવાનું આયોજન કર્યું હતું. જેથી તેમણે મે 2022માં અલથાણ વીઆઇપી રોડ સ્થિત એટલાન્ટા બિઝનેસ હબમાં આવેલા આદિદેવ હોલીડે ટુર એન્ડ ટ્રાવેલ્સનના સંચાલક યુવરાજ દિપક જરીવાલાની ઓફિસ પર ગયા હતા. જ્યાં યુવરાજે તેમને બનારસ, અયોઘ્યા, કાઠમંડુ, જનકપૂરી, ગંગટોક, દાર્જીલીંગ, બાગડોરા અને બાગડોરાથી મુંબઇ ફ્લાઇટમાં આવવા માટેનું પેકેજ આપ્યું હતું. એક વ્યક્તિના રૂ.23,000 નક્કી કરવામાં આવ્યા હતા. જેથી સંજયભાઇએ પોતાના કુટંબના 44 સભ્યો માટે ટુર બુક કરાવી હતી. 28-8-2022થી 9-9-2022 એટલે 13 દિવસની આ ટુર હતી. જેના સંજયભાઇએ રૂ.10.12 લાખ ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ યુવરાજે આ ટૂરના સંચાલન માટે પોતાની માતા અને મેનેજર શુતાન્સુ ઉપાધ્યાયને મોકલી આપ્યા હતા. પરિવાર સ્વખર્ચે સુરત પરત ફર્યુંતા.4-9-2022ના રોજ આ ટુર જનકપુરીથી સિલીગુડી જવા માટે નીકળી હતી ત્યારે રસ્તામાં મેનેજર શુતાન્સુ એ આગળ જઇ શકાઇ તેમ નથી કહીને ટૂર અટકાવી દીધી હતી. જ્યારે યુવરાજ સાથે સંપર્ક કરતા તેણે બનારસ આવી જવાનું કહ્યું હતું. જ્યારે સંજયભાઇ અને ટીમ બનારસ આવી ગઇ હતી. બાદમાં ટુર સંચાલક યુવરાજે ફોન ઉઠાવવાનો બંધ કરી દેતા આ 44 જણાઓ પોતાના ખર્ચે પરત આવ્યા હતા. બાદમાં અડધી ટુરથી પરત આ‌વ્યા હોવાથી સંજયભાઇએ વ્યક્તિ દિઠ રૂ.12,000 લેખે રૂ.5.28 લાખ પરત લેવા માટે યુવરાજની ઓફિસ પર ગયા હતા. જોકે તેણે બહાના બનાવ્યા બાદ ઓફિસ બંધ કરીને નાસી ગયો હતો. આખરે બનાવ અંગે સંજયભાઇએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 7:00 am

મકર સંક્રાતિના દિવસે ઉત્તમ યોગ:11 વર્ષે મકરસંક્રાંતિ, શડતીલા એકાદશી અમૃત સિદ્ધિ યોગનો ઉત્તમ સમન્વય થશે

14 જાન્યુઆરી મકરસક્રાંતિના દિવસે અમૃત સિદ્ધ યોગ તેમજ શડતીલા એકાદશી હોવાથી ત્રણેયના સમન્વયથી ઉત્તમ યોગ બનશે. 2015માં 11 વર્ષ પહેલા બનેલો યોગ આ વખતે પણ બનશે. વ્રત, દાન, ધર્મ માટે વધારે મહત્વ બની રહેશે. સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ડો. અશોક જોષીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. આ વખતે અમૃત સિદ્ધયોગ શડતીલા એકાદશીના દિવસે મકરસંક્રાંતિ હોવાથી મહાત્મ્ય ખૂબ જ વધી જાય છે કારણ કે એકાદશી વિષ્ણુ સંબંધી છે. સૂર્ય પણ વિષ્ણુ સંબંધી હોવાથી બનતો યોગ ઉત્તમ ગણાય. તેમાં સંક્રમણ થતું હોય તે સારો અણસાર કહેવાય. બપોરે 3થી સાંજે 6:23 સુધી સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ થાય છે તે સમયને પુણ્યકાળ કહેવામાં આવે છે તે સમય દરમિયાન દાનનો મહિમા વધારે હોય છે. ગૌશાળામાં દાન માટે 1 હજારથી વધુ સ્ટોલમકરસક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહત્વ હોવાથી શહેરમાં 1000થી વધારે ગૌશાળાઓ દ્વારા દાન એકત્ર કરવા માટે મંડપ બાંધવામાં આવે છે. પથમેડા ગૌશાળાના અગ્રણી કાર્યકર ઘનશ્યામ મુંદડાએ જણાવ્યું હતું કે અમારી ગૌશાળા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં 80 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આ જ પ્રકારે લગભગ રાજ્યભરની લગભગ દરેક ગૌશાળાઓના સ્ટોલ બંધાય શહેરના વિવિધ વિસ્તારોમાં હોય છે. સમગ્ર શહેરમાં લગભગ 1000થી વધારે સ્ટોલ જોવા મળશે. મકરસંક્રાંતિના દિવસે ગૌશાળાઓ માટે કરોડોનું દાન કરવામાં આવશે. મકરસંક્રાંતિનું દાન :તલ, ઘંઉં, મમરા, ગોળ, શેરડી, પીળું વસ્ત્ર, જીંજરા, ઘી, દૂધ, રૂપાનું પાત્ર, ખીચડી અને દૂધ. દાન-ધર્મ માટે ઉત્તમ દિવસ મકરસક્રાંતિ રાશિ પ્રમાણેનું દાન

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:57 am

ભાસ્કર એક્સક્લુસિવ:ICAIની ડિજિટલ વોચ : CA આર્ટિકલશિપમાં ડમી ટ્રેનિંગ નહીં ચાલે, ઈ-ડાયરી ફરજિયાત કરાઈ

દેશના લાખો CA વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપ હવે પેપરલેસ અને પાવરફુલ બનશે. ICAI દ્વારા ‘e-Diary’ પોર્ટલ ફરજિયાત કરી વર્ષો જૂની મેન્યુઅલ પ્રથાનો અંત આણ્યો છે. આ ડિજિટલ ક્રાંતિથી આર્ટિકલશિપના નામે ચાલતા ‘ડમી ટ્રેનિંગ’ ના ખેલ પર કાયમી લગામ લાગશે. હવે હાજરી, દર પખવાડિયે કામનો રિપોર્ટ અને સ્ટાઈપેન્ડનો ડેટા SSP પોર્ટલ પર રિયલ-ટાઇમ રિફ્લેક્ટ થશે. આ વ્યવસ્થાથી પ્રિન્સિપાલ-વિદ્યાર્થી વચ્ચેના વિવાદો ઘટશે અને ટ્રેનિંગમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ પારદર્શિતા આવશે. પેપરવર્કની ઝંઝટ મુક્ત આ સિસ્ટમ વિદ્યાર્થીઓના કૌશલ્યને ડિજિટલી નિખારશે. સ્માર્ટ લર્નિંગ, સ્માર્ટ રેકોર્ડ: ડાયરીના ભાર વિના હવે આર્ટિકલ્સ બનશે આ 5 સ્ટેપમાં તમારી ઈ-ડાયરી તૈયાર થઈ જશે

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:53 am

દોરીના લીધે અકસ્માત:પતંગની દોરી આવી જતાં બે બાઈકસવાર ઈજાગ્રસ્ત થયા

પતંગની દોરી રસ્તા વચ્ચે આવી જતા વધુ બે બાઈકસવાર યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ રજા આપી દેવામાં આવી હતી. પાલ કુશલ વાટિકા ખાતે રહેતા સચિન ચંદુભાઈ મહેતા (37) સાડીનો ધંધો કરે છે. શુક્રવારે રાત્રે તેઓ બાઈક પર રિંગ રોડ ફ્લાયઓવર પર થઈને બોમ્બે માર્કેટ જતા હતા ત્યારે સિવિલની સામે બ્રિજ પર અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં તેમને જમણા હાથમાં ઈજા થઈ હતી. જેથી તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. બીજા બનાવમાં, ડિંડોલી ગાયત્રી કૃપા રેસિડેન્સી ખાતે રહેતો નંદકિશોર મુકુંદા પાટીલ (25) શુક્રવારે રાત્રે કરાડવા ખાતે બાઈક પર જતો હતો ત્યારે અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને પણ રજા આપી દેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:50 am

નિર્ધારિત સમયમાં SIRનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડકાર:11 લાખમાંથી અત્યાર સુધીમાં માત્ર અઢી લાખ મતદારોની સુનાવણી થઈ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદારોનું મેપિંગ ન કરવા અંગે મોટો પ્રશ્ન ઉભો થયો છે. શહેરમાં આ શ્રેણીમાં 11 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ફક્ત અઢી લાખથી વધુ મતદારોને નોટિસ જારી કરવામાં આવી છે. 19 ફેબ્રુઆરીની અંતિમ તારીખ નજીક છે, પરંતુ વર્તમાન ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે નિર્ધારિત સમયમાં લક્ષ્યાંક પૂર્ણ કરવો તંત્ર માટે એક પડકાર છે. વૃદ્ધ-બીમારના પરિજન દસ્તાવેજ સબમિટ કરી શકેવૃદ્ધ, ગંભીર રીતે બીમાર અથવા હોસ્પિટલમાં દાખલ મતદારોને રાહત આપવા માટે પ્રક્રિયામાં સુગમતા રજૂ કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં, પરિવારનો કોઈ સભ્ય સુનાવણીમાં હાજરી આપી શકે છે અને જરૂરી દસ્તાવેજો અને પુરાવા સબમિટ કરી શકે છે, જેથી વૃદ્ધો અને દર્દીઓને અસુવિધા ન થાય. નવી સુવિધા સાથે ઓનલાઈન ભૂલો સુધારી શકાશેSIRમાં લોજિકલ ડિસ્ક્રિપન્સી દ્વારા મતદાર યાદીમાં નામ અથવા પિતા-પતિના નામની જોડણી, ઉંંમર અથવા અન્ય વિગતોમાં નાની નાની ટેકનિકલ ભૂલો ઓનલાઈન સુધારી શકાય છે. આ કાર્ય ફેબ્રુઆરીમાં પૂર્ણ થવાનું છે. મજૂરામાં 21 હજાર મતદારોની સુનાવણી પૂર્ણ થઈ ગઈઅત્યાર સુધીમાં મજૂરા બેઠકના 21 હજાર મતદારોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. મતદારો કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. આનાથી આશા જાગી છે કે જો સાચી માહિતી ઉપલબ્ધ થશે તો ધીમે ધીમે ભાગીદારી હજુ વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:50 am

પાલના દંપતીની ધરપકડ બાદ ઘટસ્ફોટ:ગેમ ઝોનનાં સાધનો ખરીદવા ડોલરનું સ્મગલિંગ 4.50 કરોડ દુબઇ મોકલાયા, 37% ડ્યૂટી ચોરી

પાલના દંપતીને તાજેતરમાં જ DRIએ ડોલરના સ્મગલિંગમાં ઝડપી પાડ્યું હતું. આ કેસમાં વધુ તપાસ કરતાં ઘટસ્ફોટ થયો છે અને સમગ્ર દેશમાં ગેમ ઝોનનાં સાધનો આયાત કરવા સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું DRIનું અનુમાન છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગેમ ઝોનનાં સાધનો પર 37 ટકા ડ્યુટી બચાવવા ડોલરનું સ્મગલિંગ કરાતું હતું અને બાદમાં આ ડોલરથી સાધનો ખરીદીને પેસેન્જરો મારફત તેને દેશમાં લવાતા હતા. આ મોડસ ઓપરેન્ડી સામે આવતાં દંપતીને અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયા આપનાર દુબઇના ગેમ ઝોનમાં કામ કરતા આરોપી ભંવરસિંહની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં હાલ DRI ડોલર આપનારની તપાસ કરી રહી છે. ભંવરસિંહનું સ્ટેટમેન્ટ છે કે તેને લોકો છુટાછવાયા ડોલર આપી જતા તેને તે આ દંપતીને આપતો. DRIએ કામરેજ કેનાલ રોડ ખાતે રહેતા પંકજ ધામેલિયા અને વરાછાના મહેશ ધામેલિયાની 3 કરોડના હીરા અને 1500 ડોલર સાથે ધરપકડ કરી હતી. આરોપીએ આંતરવસ્ત્રમાં ડાયમંડ સંતાડ્યા હતામાહેશ્વરી સોસાયટીના મહેશે 3.22 કરોડના હીરા આંતરવસ્ત્રમાં સંતાડ્યા હતા, જ્યારે અમર બંગ્લોઝમાં રહેતા પંકજે ડોલર ટ્રોલી બેગમાં રાખ્યા હતા. બેંગકોક જઇને તેઓ આ માલ એરપોર્ટ પર એક વ્યક્તિને આપવાના હતા. બંને અગાઉ પણ સ્મગલિંગ કરી ચૂક્યા છે. એડવોકેટ નદીમ ચૌધરી કહે છે કે સ્લમલિંગમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. ભાસ્કર એક્સપર્ટડાયમંડ તૈયાર હોય તો એક્સપોર્ટ ડ્યૂટી ન લાગેસામાન્ય રીતે પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ પર કોઈ ડ્યૂટી નથી. કેટલીક યોજનામાં ઇમ્પોર્ટ હેઠળ ડ્યૂટી લાગે છે. નિકાસમાં વધારા માટે પણ આ પગલાં લેવામાં આવ્યાં છે. અલબત્ત, જેના પર કોઈ ડ્યૂટી નથી તેનું સ્મગલિંગ થાય ત્યારે તપાસ એજન્સીઓ તેમાં ઊંડી ઉતરતી હોય છે. > તિર્થરાજ મોણપરા, સી.એ. દેશને વિદેશી હુંડિયામણ બાબતે પણ સીધો ફટકોસ્મગલિંગમાં ડોલર બહાર જતા હોય તો દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને પણ ફટકો પડે છે, જેની ગંભીર અસર અર્થતંત્ર પર પડે છે. આથી સરકારની ખાસ નજર રહેતી હોય છે. વિદેશી ચલણ બહાર લઇ જવાનું એક કારણ અન્ડર ઇનવોઇસનું પેમેન્ટ ચૂકવવું, હવાલા વગેરે પણ હોય છે. > બિરજુ શાહ, સી.એ. 50 હજારની લિમિટમાં માલ મંગાવી ડ્યૂટી ચોરીનો ખેલDRIના અધિકારીઓએ કહ્યું કે, ગેમનાં જે સાધનો ભારતમાં 70થી 80 હજારના મળે છે તે દુબઇમાં 44થી 45 હજારમાં મળે છે. હવે આયાત કરવામાં આવે તો 30થી લઇને 37 ટકા ડ્યૂટી લાગતી હોય છે, જે બચાવવા માટે સ્મગલરો પહેલાં ડોલર દુબઇ મોકલે છે અને બાદમાં સાધનો ખરીદ્યા બાદ પોતાના સિલેક્ટેડ પેસેન્જરો મારફત 50 હજારની લિમિટમાં ગેમ્સનો માલ મોકલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેસેન્જર આટલો સામાન ડયૂટી વગર લાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:48 am

પાણીપૂરીની લારીઓ ફરી ધમધમતી થઈ:અલથાણ-ભટારમાં 235 કિલો પૂરીનો નાશ કરાયાના 24 કલાકમાં જ પાણીપૂરીની લારીઓ રાબેતા મુજબ ફરી ધમધમતી થઈ ગઈ

અઠવા ઝોનના આરોગ્ય વિભાગે શુક્રવારે અલથાણ અને ભટારમાં પાણીપૂરીની લારીઓ પર દરોડા પાડી 235 કિલો પૂરીનો નાશ કર્યો હતો તેમજ પાણીને આસપાસની ગટરોમાં ઢોળી દીધું હતું. ટીમે ગોકુલ નગર (અલથાણ), ભટાર તેમજ વેસુ શ્યામ મંદિરથી સંગીની સર્કલ સુધીના માર્ગો પર તપાસ કરી 18 એકમોનું ચેકિંગ કર્યું હતું. જો કે, નવાઈની વાત એ છે કે, આ કાર્યવાહીના માંડ 24 કલાકમાં અલથાણ સહિતનાં સ્થળોએ પાણીપૂરીની લારીઓ ફરી રાબેતા મુજબ ધમધમતી થઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:43 am

સિટી એન્કર:પુણાની બ્રેઇનડેડ 50 વર્ષીય મહિલાના બંને હાથનું 20 વર્ષીય યુવકમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ, અન્ય 5 વ્યક્તિને પણ નવજીવન

પુણાની બ્રેનડેડ મહિલાનાં અંગોનું દાન કરીને પરિવારે 5 વ્યક્તિને નવજીવન આપ્યું છે. 50 વર્ષીય મહિલાના બંને હાથોનું રાજકોટના 20 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. યુવકના બંને હાથ મશીનમાં કપાઈ ગયા હતા. ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 64 વર્ષીય વૃદ્ધમાં અને લિવરનું મુંબઈના 63 વર્ષીય વૃદ્ધમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. બંને ચક્ષુને લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વિકાર્યાં છે. પુણા પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન ઉસદરીયા (50)ને ગઈ 23 ડિસેમ્બરે માથામાં અસહ્ય દુ:ખાવા સાથે ઊલટી થતાં શેલ્બીમાં દાખલ કરાયા હતા. જ્યાં બ્રેનહેમરેજ નિદાન થયું હતું. 26 ડિસેમ્બરે વધુ સારવાર માટે યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાંથી 8 જાન્યુઆરીએ યુનિર્વસલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બ્રેનડેડ જાહેર કરાયા હતા. ડોનેટ લાઈફની ટીમે પરિવારને અંગદાનની પ્રક્રિયા સમજાવી હતી અને પરિવારની સંમતિ બાદ સોટોને જાણ કરાઈ હતી. સોટોએ લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવ્યું હતું. જ્યારે બંને હાથ અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે રાજ્યમાં કોઈ દર્દી ન હોવાથી રોટોને જાણ કરવામાં આ‌વી હતી અને રોટોએ બંને હાથ મુંબઈની નાણાંવટી હોસ્પિટલને અને ફેફસાં મુંબઈની સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલને ફાળવ્યાં હતાં. બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના 20 વર્ષીય યુવકમાં મુંબઈની નાણાંવટી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 64 વર્ષીય વૃદ્ધમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 63 વર્ષીય વૃદ્ધમાં કિરણ હોસ્પિટલમાં કરાયું હતું તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંક દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું. 6 કલાકમાં રક્તસંચાર મુશ્કેલ હતો, 12 કલાક સર્જરી ચાલીડો. સાતભાયએ જણાવ્યુ હતું કે સ્ત્રી-પુરૂષના અંગોનો તફાવત મોટી ચેલેન્જ હતી. નસો ખભા સુધી ડેમેજ હોવાથી પ્રોસિજર લાંબી અને સમય ઓછો હતો. 6 કલાકમાં લોહીનું સર્ક્યુલેશન શરૂ કરવું જરૂરી હતું. જે પૂર્ણ કરી 12 કલાક લાંબી સર્જરી ચાલી હતી. દર્દી સ્ટેબલ છે અને બે-ત્રણ સપ્તાહમાં રજા અપાશે. - ડો. નિલેશ સાતભાય, સર્જન, નાણાંવટી, મુંબઈ

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:42 am

સન્ડે ફોટો સ્ટોરી:રત્નમાલા બ્રિજ 14મી પછી શરૂ થશે, કતારગામ-અમરોલીના 8 લાખ લોકોને જંક્શનના ટ્રાફિકથી મુક્તિ મળશે

વરાછા ફ્લાય ઓવર પછી શહેરનો સૌથી મોટો બ્રિજ પૂર્ણતાની આરે છે. કતારગામ-અમરોલી રોડ પર ગજેરા સર્કલ પાસે બનેલા રત્નમાલા બ્રિજની લાંબા સમયથી રાહ જોવાતી હતી. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પછી તરત જ કમુરતા બાદ આ ફ્લાયઓવર, કતારગામ ઓડિટોરિયમ સહિતનાં પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત અમરોલી, કોસાડ, ઉત્રાણ, કતારગામ સહિતના 8 લાખ લોકોને રોજના ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. બ્રિજની ડિઝાઇન બદલવા સહિતના ટેક્નિકલ કારણોસર બ્રિજને સાકાર થવામાં મોડું થઈ રહ્યું હતું. આ ફ્લાયઓવર બનાવવામાં 62 કરોડનો ખર્ચ કરાયો છે. જો કે, આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં દોઢ વર્ષ મોડો તૈયાર થયો છે, જેથી લોકોએ લાંબો સમય મુશ્કેલી વેઠવી પડી હતી. કાપડ-હીરાના કર્મચારીઓને સૌથી વધુ લાભકતારગામ-વરાછા ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હજારો રત્નકલાકારો અને વેપારીઓ, માર્કેટના કર્મચારીઓ,કામદારો મોટી સંખ્યામાં અમરોલી, કોસાડ, ઉત્રાણ સહિતના વિસ્તારોમાં રહે છે. આ બ્રિજ બનતાં તેમની અવર-જવર સરળ અને ઝડપી બની જશે. સમય અને ઈંધણની બચત થશે આ બ્રિજથી રત્નમાલા જંક્શન પરના ટ્રાફિક જામનો કાયમી ઉકેલ આવશે. આ બ્રિજ સ્ટેશન જવા મહત્વની કડી હોવાથી સમય-ઇંધણની બચત થશે. કતારગામ, રત્નમાલા, નંદુ ડોશીની વાડી, લલિતા ચોકડી, એકે રોડ, ફૂલપાડા, વેડ રોડ, સિંગણપોર, વરાછા રોડ આવવા-જવા માટે ઉપયોગી નિવડશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:37 am

મોરબી રોડ, બેડી ચોકડી- માધાપર ચોકડીએ વાઇબ્રન્ટ અંધાધૂંધી:મોરબી રોડ પર વાહનચાલકોને અટકાવાયા, વાડી વિસ્તારમાં રહેતા લોકોની હાલત કફોડી

રાજકોટના મોરબી રોડ પર મારવાડી કેમ્પસ ખાતે આજે તા.11ના રોજ પીએમના હસ્તે વાઇબ્રન્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થનાર હોય છેલ્લા બે દિવસથી મોરબી રોડ, બેડી ચોકડી અને માધાપર ચોકડી સુધી વાઇબ્રન્ટ અંધાધૂંધી સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું છે. શુક્રવાર બાદ શનિવારે પણ મારવાડી કેમ્પસથી સિટી સુધી પહોંચવામાં લોકોને દોઢ-દોઢ કલાક હેરાનગતિ થઇ હતી. બીજીતરફ રિહર્સલ સમયે પણ કલાકો સુધી હાઇવે બંધ કરી દેવાતા ખાસ કરીને મારવાડી કેમ્પસ નજીક વાડી વિસ્તારમાં રહેતા લોકો હેરાન થયા હતા અને એક કિસ્સામાં તો વાડીએ રહેતા વૃદ્ધાને રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં વૃદ્ધાને સરકારી ગાડીમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડાયા હતા. પીએમ મોદીની હાજરીમાં યોજાનાર વાઇબ્રન્ટ કોન્ફરન્સને લઈ ગાંધીનગરના અધિકારીઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે અને સ્થાનિક તંત્ર પણ ઊંધા માથે તૈયારીમાં લાગ્યું છે ત્યારે શનિવારે રિહર્સલ પહેલાં પોલીસે કાયદાનો અતિરેક કરી વાહનોને કલાકો સુધી થંભાવી દેતા અસંખ્ય લોકો હેરાન થયા હતા. ખાસ કરીને વાઇબ્રન્ટ સ્થળની આજુબાજુ વાડી વિસ્તારમાં રહેતા લોકોને નજરકેદ જેવી સ્થિતિ અનુભવવી પડી હતી. શનિવારે સવારના સમયે એક વૃદ્ધાને પોતાની વાડીના રહેઠાણે જવું હોય પોલીસે ગાડી રોકી રાખી હતી. જોકે બાદમાં અન્ય સરકારી ગાડીમાં વૃદ્ધાને તેમના ઘેર પહોંચાડાયા હતા. બીજીતરફ વાઇબ્રન્ટને પગલે મોરબી રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ટ્રાફિકજામની અંધાધૂંધી સર્જાઈ રહી છે. સામાન્ય દિવસોમાં સરળતાથી ચાલતો ટ્રાફિક પોલીસના અતિરેકથી ટ્રાફિકજામમાં પરિવર્તિત થયો હતો. ગઇકાલે શુક્રવારે સાંજે પણ મોરબી રોડ પર ટ્રાફિકની અંધાધૂંધી સર્જાતા અધિકારીઓ પણ ટ્રાફિકજામમાં કલાકો સુધી ફસાયા હતા. એ જ રીતે શનિવારે સાંજે પણ બેડી ચોકડી, માધાપર ચોકડી અને મોરબી રોડ પર વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. અનેક અધિકારીઓએ ભજિયાં-સમોસા ખાઈ દિવસ કાઢ્યોમારવાડી કેમ્પસ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સ અને એક્ઝિબિશનને લઇ રાજકોટ શહેર તેમજ જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને કામગીરી સોંપાતા સેંકડો કર્મચારી કાર્યક્રમ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. જેમાં પોલીસ માટે અલગથી રસોડું કાર્યરત હતું જ્યારે બીએસએનએલના કર્મચારીઓ ટિફિન લઈને આવ્યા હતા તો ગાંધીનગરથી આવેલ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ માટે જમવાનો પ્રબંધ ન હોવાથી મારવાડી કેમ્પસની કેન્ટીનમાં કેટલાય અધિકારીઓએ ભજિયાં, સમોસા જેવો નાસ્તો કરી દિવસ પસાર કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસની કડક નીતિને કારણે વાઇબ્રન્ટમાં ફરજ પર ગયેલા ખાનગી-સરકારી કર્મચારીઓને બબ્બે કિલોમીટર ચાલીને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવું પડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:30 am

સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ આરોગ્ય વ્યવસ્થા:રીજનલ સમિટમાં સિવિલ હોસ્પિટલની 6 બેડની મેડિકલ વ્યવસ્થા ઊભી કરાઈ

વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ સમિટનો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ થશે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. ત્યારે કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઊભી ન થાય તે હેતુથી અહીં સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5 હજારથી વધુ ઉદ્યોગકાર પણ ભાગ લેવાના હોઇ જેથી સમિટમાં હાજર કોઈને પણ કોઇ પણ પ્રકારની સારવારની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પણ ખાસ વ્યવસ્થા પીડીયુ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. તે અંતર્ગત તબીબો સહિત 50 વ્યક્તિનો મેડિકલ સ્ટાફ અહીં ખડેપગે રહેશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રીજનલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમિટ દરમિયાન જો કોઇને ઇમર્જન્સી સારવાર લેવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ સુવિધા ઊભી કરાઇ છે. સિવિલ હોસ્પિટલ દ્વારા રીજનલ સમિટના સ્થળે 6 બેડની મિનિ હોસ્પિટલ ઊભી કરાઇ છે. જેમાં એક વેન્ટિલેટર બેડ રખાયો છે. ડ્રેસિંગ કરવા માટેના ત્રણ ટેબલની વ્યવસ્થા છે અને ત્રણ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. ફિઝિયોથેરાપિસ્ટ, સર્જન, ઓર્થોપેડિક, મેડિકલ ઓફિસર સહિત 25 ડોક્ટરની ટીમ, 10 નર્સિંગ સ્ટાફ, 10 સર્વન્ટ સહિત 50નો કાફલો આ મિનિ હોસ્પિટલ ખાતે ખડેપગે રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:29 am

મહિલાએ જીવન ટૂંકાવ્યું:પુત્રનો કબજો પતિને સોંપાતા વિયોગમાં મહિલાનો આપઘાત

કોઠારિયાના રણુજાનગર શેરી નં.2માં રહેતી નયનાબેન વિશાલભાઇ કુબાવત (ઉ.વ.25) નામની યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નયનાબેનના 6 વર્ષ પૂર્વે રાજેશ સાથે પ્રેમવિવાહ થયા હતા. નયનાબેનના વિશાલ સાથે આડા સંબંધની પતિને જાણ થતા પ્રથમ પતિ રાજેશભાઇ સાથે 2025માં છૂટાછેડા થઇ ગયા. તેના થકી જન્મેલા બાળકનો કબજો પ્રથમ પતિ રાજેશભાઇને સોંપાયો હતો. હાલ વિશાલ સાથે મૈત્રીકરાર કરીને રહેતી હતી. દીકરાની યાદ આવતી હોઇ ચિંતામાં પગલું ભર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:27 am

પોલીસ ફરિયાદ નોંધાઈ:સ્કૂટરચાલકે બસ ડ્રાઈવરને ધમકાવ્યો, શાળામાં ફોન કરી ખોટી ફરિયાદ કરી

રેલનગરમાં રહેતા અને ખાનગી સ્કૂલના બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતો યુવાન માધાપર ચોકડી વિનાયક વાટિકા નજીક છાત્રોને ઘરે ઉતારવા જઈ રહ્યો હતો ત્યારે એક ટૂ વ્હિલર અચાનક વચ્ચે આવી જતા યુવકે બસની બ્રેક મારી દીધી હોવા છતાં આ શખ્સે ગાંળો ભાંડી મારકૂટ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. શહેરના રેલનગર સંતોષીનગર પાસે ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ એ-72માં રહેતાં દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકરએ યુનિ.પોલીસમાં મોહિતરાજસિંહ હઠીસિંહ સોલંકી સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે વેસ્ટ વૂડ સ્કૂલની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત તા.7ના બસ લઈ વિદ્યાર્થીઓને વિનાયક વાટિકા વિસ્તારમાં તેમના ઘરે ઉતારવા જતો હતો ત્યારે શેરી પાસે બે શખ્સ સ્કૂટર લઈ ઊભા હતા. જેવી બસ પસાર થતા ચાલકે સ્કૂટર શેરી વચ્ચે ઊભું રાખી દીધું હોય જેથી પોતે બ્રેક મારતા અકસ્માત થયો ન હતો. છતાં સ્કૂટરમાં પાછળ બેઠેલા શખ્સે તેને ગાળો ભાંડી બસમાં ચડી જઈ મારકૂટ કરી. જો આવી રીતે બસ ચલાવીશ તો મારી નાખીશ મારો ચહેરો યાદ રાખજે કહી જતો રહ્યો હતો. બાદમાં શાળામાં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:25 am

ઠગાઈનો મામલો:નોકરીમાં જોડાયાના 20મા દિવસે વેરાવળના શખ્સે કંપનીના 10 લાખ ખિસ્સામાં નાખી ઠગાઈ આચરી

રાજકોટના જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી-5માં રહેતા અને સીએમએસ ઇન્ફો સિસ્ટમ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ગોપાલસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપનીમાં વીશેક દિવસથી વેરાવળ-સોમનાથના વતની અને રાજકોટના મવડી ઓમનગર શેરી નં.6 પાસે રહેતાં સાગર દેવળિયા અને છ માસથી સાહિલ ઘાંચી મહેસાણા બ્રાંચમાં કસ્ટોડિયલ તરીકે નોકરી કરે છે. હવે અમારી ઓફિસે જોડાયેલા છે. તેમણે 10 લાખ પોતાના અંગત વપરાશ માટે કાઢી લીધા હતા. ગત તા.3ના ઓફિસમાં ગણતરી વેળાએ 10 લાખની ઘટ આવી હોય જેથી તપાસ કરતા સાગરે રકમ ઓછી જમા કરાવ્યાનું ખૂલતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેનેજર પાસે શખ્સે તેના પિતાને હાર્ટએટેક આવ્યાનું બહાનું કાઢ્યું, 3 દિવસ રજા રાખીઆ બનાવમાં કંપની મેનેજર સાથેની વાતચીતમાં સાગરે ગાડીમાં જ કંપનીની કુલ રકમમાંથી રૂ.10 લાખ પોતાની પાસે રાખી લીધા બાદ પોતે રાત્રે મેનેજરને કોલ કરી સોમનાથ-વેરાવળ રહેતા તેના પિતાને હાર્ટએટેક આવ્યો હોવાથી 3 દિવસ નોકરી પર નહીં આવે તેવું જણાવ્યું હતું. કંપની મેનેજરે આ સાગર દેવળિયા ગાડીમાં હતો ત્યારે ટિફિનની થેલી કે લેપટોપ બેગમાં પૈસા નાખી રફુચક્કર થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:24 am

આ મકરસંક્રાંતિ શુભ અને ઉત્તમ ફળ આપનાર બનશે:મકરસંક્રાંતિની સાથે ષટતિલા એકાદશી, અનુરાધા નક્ષત્ર હોવાથી આ દિવસ શુભ ફળ આપનાર બનશે

પંચાંગ પ્રમાણે પોષ વદ અગિયારસને બુધવારે તા.14 જાન્યુઆરીના રોજ સૂર્યનારાયણ ભગવાન બપોરે 3:08 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિની સાથે ષટતિલા એકાદશી પણ છે, ઉપરાંત આખો દિવસ અનુરાધા નક્ષત્ર પણ હોવાથી આ વર્ષની મકરસંક્રાંતિ શુભ અને ઉત્તમ ફળ આપનાર બનશે. તા.14 જાન્યુઆરીના રોજ બુધવારે સૂર્યગ્રહ બપોરે 3:08 વાગ્યે મકરરાશિમાં પ્રવેશની સાથે કમુરતાં પૂર્ણ થશે અને ત્યારબાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી અમુક પંચાંગના જણાવ્યા પ્રમાણે ગોરણી જમાડી અને શુક્રના જાપ કરાવી લગ્ન થઇ શકશે. મકરસંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે દાનનું મહત્ત્વ આ વર્ષે બુધવારે સૂર્યનારાયણ દેવતા બપોરે 3:08 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરતાં હોવાથી દાન દેવાનો શુભ સમય બપોરે 3:08 વાગ્યાથી સાંજના 6:23 સુધી વધુ શુભ રહેશે. 20 જાન્યુઆરીથી શુભ મુહૂર્તો શરૂ

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:22 am

નવી પહેલ:10 વર્ષથી વધુ સંયુક્ત કુટુંબમાં રહી સંયમ, સંસ્કારને જાળવી રાખતી 58 પુત્રવધૂનું આજે સન્માન

જગતમાં બધા જ માતાની પૂજા કરે છે ત્યારે માતાને પણ પહેલા એક પુત્રી બનીને જન્મ લેવો પડે છે. દીકરીએ માતાની મિત્ર, પિતાનું વાત્સલ્ય અને હિંમત તથા પરિવારનું હૃદય હોય છે, પરંતુ પુત્રથી વધુ ગણવામાં આવે તે પુત્રવધૂ હોય છે. આ દરેક કહેવતોને સાર્થક કરતું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શહેરના સેવા ભારતી ભવન, અમૂલ સર્કલ, ફિલ્ડમાર્શલની બાજુમાં, 80 ફૂટના રોડ ખાતે આજે તા.11 જાન્યુઆરીના રોજ બપોરે 1થી 7 વાગ્યા સુધી સંસ્થા દ્વારા લુહાર-સુથાર વિશ્વકર્મા જ્ઞાતિની દીકરી વહાલનો દરિયો અને પુત્રવધૂ ગૌરવ વિશેષ સન્માનનો કાર્યક્રમ યોજાશે. શહેરમાં જ્ઞાતિના 30 હજાર પરિવાર રહે છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના લોકો હાજરી આપશે. કાર્યક્રમ બાદ દરેક લોકો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ગુજરાતમાં 17થી વધુ પસંદગી મેળા પણ કરાયા છે ત્યારે દીકરી તથા પુત્રવધૂનું સન્માન કાર્યક્રમ પહેલીવાર યોજાશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. ત્યારે આ વિષેશ સન્માન સમારોહ પ્રથમ વખત યોજાશે. 38 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતી પુત્રવધૂ, 2 પરિવારની દોઢ મહિનાની જોડિયા બાળકીનું પણ સન્માન કરાશેકાર્યક્રમ વિશે સંસ્થાના પ્રમુખ અમૃતલાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે પરિવારમાં બે કે તેથી વધુ દીકરીઓ હોય અને દીકરો ન હોય તેવી 104 દીકરીનું સન્માન કરાશે તથા 10 વર્ષથી વધુ સંયુક્ત પરિવારમાં રહીને સંયમ, સહનશીલતા, સેવા, સંસ્કાર અને સમર્પણ સાથે કુટુંબની એકતા જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તેવી 58 પુત્રવધૂનું સન્માન કરાશે. આ દરમિયાન 38 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેલા પુત્રવધૂનો સમાવેશ થાય છે. ઉપરાંત બે એવા પરિવાર છે કે જેમને દોઢ મહિનાની જોડિયા બાળકીને સન્માનિત કરાશે. આ કાર્ય હાથ ધરવા પાછળનો હેતુ કે દીકરીઓની સમાજમાં ઓળખ ઊભી થાય, નામ બને અને પુત્રવધૂનું સન્માનમાં અત્યારના સમયમાં કોઇ સાથે રહેવા માગતું નથી તેથી અન્ય દીકરીને આ જોઇ પ્રેરણા મળે તેથી આ નવી પહેલ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:20 am

ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે રાજકોટ:મુકેશ અંબાણી, બી.કે.ગોએન્કા અને કરણ અદાણીની હાજરીમાં આજે PM મોદી કરાવશે વાઇબ્રન્ટનો પ્રારંભ

રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત @ 2047ના વિઝન સાથે રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બપોરે ઉદ્ઘાટન કરશે. આ તકે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે.ગોએન્કા અને અદાણી પોર્ટ ગ્રૂપના કરણ અદાણી ખાસ હાજર રહેશે. સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં રવાન્ડાના હાઇકમિશનર અને યુક્રેનના રાજદૂત પણ વિશેષ હાજરી આપશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વાગત પ્રવચન આપશે. રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, રિલાયન્સ ગ્રૂપના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે. ગોએન્કા, અદાણી પોર્ટ એન્ડ સેઝના એમડી કરણ અદાણી અને રાજકોટનું ગૌરવ એવા જ્યોતિ સીએનસી ગ્રૂપના એમડી પરાક્રમસિંહજી જાડેજા પણ હાજરી આપી ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધન કરશે. વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં જાપાન, દક્ષિણ કોરિયા, યુક્રેન અને રવાન્ડા દેશ ભાગીદાર દેશ બન્યા છે, ત્યારે રવાન્ડાના હાઇ કમિશનર જેક્લીન મુકાંગીરા અને ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ.એલેક્ઝાન્ડર પોલિશચુક પણ આ પ્રસંગે ખાસ હાજરી આપશે. PM મોદી આજે રાજકોટમાં ગુજરાતનો ગ્લોબલ ગેટવે ખુલ્લો મૂકશે, સમુદ્રી ક્ષેત્રે વિકાસની તકો માટે વિશાળ જહાજમાં પ્રદર્શનરાજકોટમાં આજે પીએમ મોદી રાજકોટથી ગુજરાતનો ગ્લોબલ ગેટવે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુક્રેન અને રવાન્ડા સહિતના ભાગીદાર દેશો સાથે રાજકોટમાં ખાસ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે જેમાં છ થીમ પેવેલિયનમાં લોકલ કારીગરથી લઈને ગ્લોબલ માર્કેટ અંગેના પ્રદર્શની યોજાશે મારવાડી કેમ્પસ ખાતે 18 હજાર ચોરસમીટર જગ્યામાં વિશાળ ડોમમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં જાપાનની જેટ્રો (જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન), ઉદ્યોગ અને ખાણ વિભાગ, ધોલેરા સર વગેરેના આકર્ષક સ્ટોલ ઉપરાંત અહીં બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ માટે રિવર્સ બાયર્સસેલર્સ મીટ પણ થશે. બીજા પેવેલિયનમાં ‘ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ’ની થીમ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. પેવેલિયન-3માં ‘હસ્તકલા ગ્રામ્ય અને એમ.એસ.એમ.ઈ.’ થીમનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જ્યારે પેવેલિયન 4માં ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝની થીમ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા એક મોટા જહાજમાં બંદર અને સમુદ્રી ક્ષેત્રના વિકાસની તકોનું નિદર્શન કરવામાં આવશે. જ્યારે 5 નંબરના એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયનમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી, જ્યોતિ સી.એન.સીના સ્ટોલ હશે. જ્યારે પેવેલિયન 6માં પબ્લિક સેક્ટર પાવર હાઉસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વન્ય પ્રાણીઓના રાહત-બચાવ માટે કાર્યરત વનતારા તેમજ વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી કરશે નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કની જાહેરાતપીએમ મોદી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં નવા સ્માર્ટ જીઆઈડીસી એસ્ટેટ્સ અને નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કની જાહેરાત કરશે. ઉદ્ઘાટન સત્ર બાદ 9 સેમિનાર યોજાશે જ્યારે બીજા દિવસે તા.12 જાન્યુઆરીએ એમએસએમઈ કોન્ક્લેવ તેમજ 40થી વધુ સેમિનાર યોજાશે. અંબાણી, ગોએન્કા અને અદાણી પ્રથમ વખત રાજકોટ આવશેમારવાડી યુનિ. ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના ગોએન્કા અને અદાણી પોર્ટ ગ્રૂપના કરણ અદાણી સંભવત પ્રથમ વખત રાજકોટ આવશે. આ અગાઉ રાજકોટમાં દેશના ટોચના અગ્રણી ઉદ્યોગપતિઓ આવ્યા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગતદ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન મોદી શનિવારે બપોરે રાજકોટના હિરાસર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. આ તકે મંત્રી કુંવરજી બાવળિયા, મેયર નયનાબેન પેઢડિયા, મુખ્ય સચિવ એમ.કે.દાસ, કલેક્ટર ડો.ઓમ પ્રકાશ સહિત અધિકારીઓએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં પીએમ મોદી ખાસ હેલિકૉપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતાં.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:19 am

પોલીસની કામગીરી સામે ઊભા થયા પ્રશ્નો:ચાંદીના વેપારીની ફરિયાદ પરથીસીપી સહિત 6ને કોર્ટની નોટિસ

રાજકોટ પોલીસની કામગીરી સામે ફરી એક વખત ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. 60 કિલો ચાંદીના વ્યવહાર સંબંધિત વિવાદમાં એ-ડિવિઝન પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરતાં ચાંદીના દાગીના બનાવતા વેપારીએ પોલીસ કમિશનર સહિત 6 વ્યક્તિ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તમામ સામાવાળાઓને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. ફરિયાદમાં પોલીસ પર દબાણ અને મિલાપીપણાનો આક્ષેપ કરાયોફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સામાવાળાની ફરિયાદ આધારે ખોટી સહીઓવાળા વાઉચરોના આધારે હરેશભાઈ સામે એફઆઈઆર કરવામાં આવી અને પૈસા ચૂકવવા પોલીસ દ્વારા દબાણ કરાયું. પીએસઆઈ ચાવડાએ ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી રાકેશ દેસાઈ, પીઆઈ બી.વી. બોરીસાગર, પીએસઆઈ એસ.આર. ચાવડા, પુખરાજ જૈન અને તેના પુત્ર જીતેન્દ્ર સહિત કુલ 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વેપારીનો આરોપ: પહેલા અરજી છતાં પોલીસે કાર્યવાહી ન કરીફરિયાદી હરેશભાઈ નટવરલાલ કારેલિયા (ઉ.વ. 55, રહે. લક્ષ્મીવાડી, રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા 25 વર્ષથી ચાંદીના દાગીના બનાવવાનું મજૂરીકામ કરે છે. પુખરાજભાઈ જૈન અને તેમના પુત્ર જીતેન્દ્ર સાથે વર્ષોથી વ્યવસાયિક સંબંધ રહ્યો હતો. ચાર વર્ષ પહેલાં 60 કિલો ફાઈન ચાંદી અને રૂ.20 લાખ વ્યાજે લીધા હતા, જે સપ્ટેમ્બર-2025માં વ્યાજ સહિત ચૂકવી વ્યવહાર પૂર્ણ કર્યો હોવાનો દાવો કર્યો છે. ફરિયાદ મુજબ, તમામ હિસાબ ચૂકતા થયા બાદ પણ વધારાની રકમ અને ચાંદી માગવામાં આવી, ન આપતા ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ બાબતે 10/10/2025ના રોજ એ-ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે. 27 જાન્યુઆરીએ તમામને કોર્ટમાં હાજર થવા ફરમાનફરિયાદીના વકીલ નિલ શુક્લએ જણાવ્યું હતું કે, અદાલતે તમામ સામાવાળાઓ અને પોલીસ અધિકારીઓને કેસમાં અત્યાર સુધી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સાથે 27-1ના રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:16 am

સન્ડે બિગ સ્ટોરી:લાલપરી તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને સ્લમના દબાણોનું ગ્રહણ, સ્ટે. ચેરમેનને અંધારામાં રખાયા

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લાલપરી તળાવના બ્યુટીફિકેશન અને હેરિટેજ બનાવવાના પ્રોજેક્ટ માટે રૂ.18.11 કરોડનો ખર્ચ બે દિવસ પૂર્વે મંજૂર કર્યો હતો અને આ કામગીરી માટે સૌથી ઓછા ભાવ ભરનાર બી.બી.પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવાનું મંજૂર કરાયું છે ત્યારે હવે નવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં લાલપરી તળાવના બ્યુટીફિકેશન અને ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ જે સ્થળે કરવાનો છે તેમાં અમુક જગ્યા પર સ્લમ એરિયાનું દબાણ છે. આ બાબતે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ સ્ટેન્ડિંગ ચેરમેનને પણ અંધારામાં રાખ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી દરખાસ્ત મુજબ લાલપરી તળાવના કાંઠે 10950 ચો.મી. જગ્યામાં ગાર્ડન વર્ક, વોકિંગ ટ્રેક, એક કિલોમીટર લંબાઇની ગ્રેબિયન વોલ, 850 મીટર રનિંગ ફૂટપાથ તેમજ 1650 મીટર રનિંગ મીટરના ગઝેબો સહિતના આયોજનોનો બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે, પરંતુ જ્યાં ગાર્ડન, ગઝેબો, ગ્રેબિયન વોલ, વોકિંગ ટ્રેક, ફૂટપાથ વગેરે સૂચવ્યું છે તે સ્થળે ઝૂંપડાં, મકાનો અને કારખાના સહિતના દબાણો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જો લાલપરી તળાવનું બ્યુટીફિકેશન માટે ડેવલપમેન્ટ કરવું હોય તો સૌ પ્રથમ અહીંયા ડિમોલિશનની કાર્યવાહી કરવી પડે તેમ છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને પૂછતા તેઓએ ત્યાં આગળ દબાણો હોવાનું મને જાણમાં નથી. ત્યારે સવાલ એ ઊઠે છે કે, મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોનના ટી.પી.વિભાગે આવડી મોટી બાબતથી શા માટે સ્ટેન્ડિંગ ચેરમેનને અંધારામાં રાખ્યા હશે. શહેરના પ્રજાજનો માટે મનપાના પદાધિકારીઓએ આવડો મોટો પ્રોજેક્ટ મંજૂર કરી દીધો અને તે શરૂ ન થાય તેવી સ્થિતિ બાબતે તેમને શા માટે જાણ ન કરાઇ તે પણ તપાસનો વિષય છે. દબાણો દૂર કરવાના થશે તો પ્રોજેક્ટની કામગીરી ઘોંચમાં પડશેમહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે અને હવે ટીપી શાખા દ્વારા સિસ્ટમ મુજબ વર્ક ઓર્ડર આપવાનો હોય છે, પરંતુ જો આ સ્થળે ઝૂંપડાઓ, કારખાના અને રહેણાક મકાનોના દબાણો હશે તો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં નિશ્ચિતપણે ઢીલ થશે તેમાં બેમત નથી. ભૂતકાળમાં પણ આ જગ્યાએ દબાણ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટમાં શા માટે આંખ આડા કાન કરાયા તે પણ તપાસનો વિષય છે. ઝૂંપડાંના દબાણની જાણ નથી છતાં બાંધકામ શાખા સાથે ચર્ચા કરી લેશુંલાલપરીના પ્રોજેક્ટના સ્થળે ઝૂંપડાઓનું દબાણ બાબતે મને જાણ નથી. આ જગ્યા ખુલ્લી જ છે. આમ છતાં જો આ સ્થળે દબાણ હશે તો બાંધકામ શાખા સાથે ચર્ચા કરી લેશું અને પછી તેને દૂર કરીશું. મારી જાણ મુજબ આ દબાણો ઓવરહેડ ટેન્ક અને તળાવ વચ્ચેની ખુલ્લી જગ્યામાં છે. > અભિ પટેલ, ટીપીઓ, મહાનગરપાલિકા

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:13 am

આવતીકાલથી વાંચો નવી સિરીઝ, ‘સ્કાયલાઇનર્સ’:ગુજરાતના અગ્રણી બિલ્ડરોની શૂન્યમાંથી સર્જનની, ગગનચુંબી ઇમારતોનાં નિર્માણની દિલધડક કહાનીઓ

દિવ્ય ભાસ્કર લઈને આવી રહ્યું છે ગુજરાતના અગ્રણી બિલ્ડર્સની અનોખી સિરીઝ 'સ્કાયલાઇનર્સ'. ગુજરાત અને તેમાંય અમદાવાદની સ્કાયલાઇન આજે જે ઊંચાઈએ પહોંચી છે, તેની પાછળ છુપાયેલી છે અદ્ભુત સંઘર્ષ, મહેનત અને દૂરદર્શિતાની પ્રેરક યાત્રાઓ. આવતીકાલે સોમવારથી દિવ્ય ભાસ્કર લાવી રહ્યું છે 'સ્કાયલાઇનર્સ', એક ખાસ સિરીઝ જેમાં તમે મળશો ગુજરાતના અગ્રણી બિલ્ડરો સાથે, જેમણે ખાલી હાથે શૂન્યમાંથી શરૂઆત કરીને લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ ઊભા કર્યા. સોમવારથી શુક્રવાર, દરરોજ સવારે 6 વાગ્યે રજૂ થશે એક નવી પ્રેરક કહાની! દરેક એપિસોડમાં જાણો: શૂન્યથી શિખર સુધીની સફર: કેવી રીતે એક સામાન્ય વ્યક્તિએ રિયલ એસ્ટેટ જગતમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું? કયા પડકારોનો સામનો કર્યો અને કેવી રીતે તેમાંથી બહાર આવ્યા? લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની અંદરની વાત: શહેરની આઇડેન્ટિટી બની ગયેલા પ્રોજેક્ટ્સ પાછળની વણકહી વાર્તાઓ. ભવિષ્યની દિશા: રિયલ એસ્ટેટના નવા ટ્રેન્ડ્સ, ટેક્નોલોજી અને ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓ વિશે ઇન્ડસ્ટ્રી લીડર્સનો અનુભવ અને દૃષ્ટિકોણ. જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો, રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હો, અથવા સફળતાની પ્રેરણા શોધતા હો, તો 'સ્કાયલાઇનર્સ' સિરીઝ ખાસ તમારા માટે જ છે! તો આવતીકાલે સોમવારથી દિવ્ય ભાસ્કર એપ પર વાંચવાનું ચૂકશો નહીં, સફળતાની અવિસ્મરણીય કહાનીઓ માત્ર 'સ્કાયલાઇનર્સ'માં!

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:00 am

પરવીન બાબીની હવેલી કોણે તોડી? રાતોરાત સાગના લાકડા-પથ્થરો ગાયબ:જૂનાગઢમાં 200 વર્ષ જૂની કરોડોની મિલકત જમીનદોસ્ત; અભિનેત્રીના મોતની જેમ રહસ્ય સર્જાયું

ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો હોય તેમ જણાય છે. બોલિવૂડની ગ્લેમર ગર્લ ગણાતી દિવંગત અભિનેત્રી પરવીન બાબીના જે ઐતિહાસિક બંગલા સાથે જૂનાગઢનો ઈતિહાસ જોડાયેલો હતો, તે બંગલાને કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વગર અત્યંત રહસ્યમય રીતે તોડી પાડવામાં આવ્યો છે. નવાબી કાળની કલાત્મક કમાન, કિંમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડાઓ રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ડિમોલિશનની કામગીરી ચાલતી હોવા છતાં જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય સરકારી તંત્રો જાણે કે ઘસઘસાટ ઊંઘતા રહ્યા હોય તેમ ‘અમને કંઈ ખબર જ નથી’ તેવો રાગ આલાપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ‎ટ્રસ્ટીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેઓ આ મામલે મુંબઈથી જૂનાગઢ આવી કલેક્ટર અને જિલ્લા ‎પોલીસ વડાને રૂબરૂ મળીને લેખિત ‎રજૂઆત કરશે. 2 JCB અને હેવી ક્રેન પણ જેને પાડી ન શકી, તે કમાનને ખેંચીને તોડાઈ​પરવીન બાબીના બંગલા નજીક છેલ્લા પાંચ વર્ષથી જૂના ફર્નિચરનો વ્યવસાય કરતા રિઝવાન સોરઠીયાએ આ ઘટનાની કાળી કથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બંગલો અને તેની કલાત્મક કમાન એટલી મજબૂત હતી કે તેને તોડતા 12થી 13 દિવસનો સમય લાગ્યો હતો. રાત્રે શરૂ થતું ને સવારે 5 વાગ્યે ડિમોલિશન કામગીરી સમેટી લેવાતીરિઝવાનભાઈના જણાવ્યા મુજબ આ હેરિટેજ કમાન માત્ર એક પિલર પર ઊભી હતી. તેને પાડવા માટે 2 જેસીબી અને હેવી વાયરો લગાવીને જોર કરવામાં આવ્યું છતાં તે હલતી પણ નહોતી. ​કિંમતી સાગના લાકડા અને પથ્થરોની રાતોરાત ગાયબ​સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ બંગલાના ડિમોલિશન બાદ તેમાંથી નીકળેલા કિંમતી સાગના લાકડાના બારી-દરવાજા અને વિશાળ બીમ રાતોરાત ટ્રેક્ટરો ભરીને ક્યાંક લઈ જવામાં આવ્યા છે. નવાબી કાળના પથ્થરો પણ ગાયબ છે. આ મામલે સવાલ એ ઊભો થાય છે કે, જૂનાગઢના હાર્દ સમાન વિસ્તારમાં ટ્રેક્ટરો ભરીને કિંમતી માલ-સામાન જતો હોય ત્યારે પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓની નજરે આ બાબત કેમ ન ચડી? આ કોઈ વ્યવસ્થિત રીતે આચરેલું કૌભાંડ હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ‘કોર્પોરેશનના લોકો છીએ કહીને બંગલાનું ડિમોલિશન કરાયું’​આ ડિમોલિશન પ્રક્રિયામાં આસપાસના વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભંગારનો ડેલો ચલાવતા સુરેશભાઈએ જણાવ્યું કે આ તોડફોડને કારણે લોખંડ, ફર્નિચર અને એક બુલેટ બાઈકને પણ ભારે નુકસાન થયું છે, જેનો અંદાજો અઢીથી ત્રણ લાખ રૂપિયા છે. તેવી જ રીતે આઈસ્ક્રીમના વેપારી બકુલ સોનીએ જણાવ્યું કે આગોતરી જાણ વગર લાઈટો કાપી નાખતા તેમનો 35 હજારનો માલ બગડી ગયો હતો. આ પણ વાંચો: 'પરવીન બાબી પહેલાથી જ પરિણીત હતી', મહેશ ભટ્ટે કર્યો ખુલાસો ​12 દિવસ રસ્તાઓ બંધ કરી, પતરાં મારીને ‘ગુપ્ત’ રીતે તોડફોડ કરાઈ​આ સમગ્ર ડિમોલિશન દરમિયાન વિસ્તારના બંને તરફના રસ્તાઓ પતરાં લગાવીને બંધ કરી દેવામાં આવ્યા હતા. અંદાજે 15 દિવસ સુધી આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. વેપારીઓને પણ ધંધા-રોજગાર બંધ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું. જે પ્રોપર્ટીનો મામલો કોર્ટમાં ચાલતો હોવાનું કહેવાય છે, તેને આટલી ઉતાવળમાં કોના ઈશારે તોડી પાડવામાં આવી તે વાત જૂનાગઢમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. અમે કોઈ કામગીરી નથી કરી: મનપા કમિશનર​આ ગંભીર મામલે જ્યારે તંત્રનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે સ્પષ્ટતા કરી હતી કે, પરવીન બાબીની પ્રોપર્ટી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવી નથી. કોર્પોરેશન માત્ર જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપીને તોડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અમારા તરફથી કોઈ કામગીરી થઈ નથી. તો બીજી તરફ આર એન્ડ બી (RB)વિભાગના અધિકારીઓએ પણ જણાવ્યું કે આ મિલકત તેમના હસ્તક આવતી નથી. ​વારસાની કતલ: શું જૂનાગઢનો ઇતિહાસ ભૂંસાઈ જશે?​જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક ઇમારતો શહેરની શાન છે. જો આવી હેરિટેજ મિલકતોને રિનોવેટ કરીને મ્યુઝિયમ કે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો જૂનાગઢને વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ મળી શકે તેમ છે, પરંતુ અહીં તો ઐતિહાસિક સ્થાપત્યોને તોડી પાડવામાં આવી રહ્યા છે. પરવીન બાબીની આ મિલકત જે મજબૂત હાલતમાં હતી તેને તોડી પાડવું એ માત્ર ભૌતિક નુકસાન નથી પણ સાંસ્કૃતિક નુકસાન પણ છે. આ બંગલો કોને તોડ્યો?હવે સવાલ એ છે કે જો કોર્પોરેશન અને RB વિભાગે આ બંગલો નથી તોડ્યો, તો પછી 2 JCB, 3 ક્રેન અને હેવી વાયરો સાથે આટલું મોટું ઓપરેશન કરનારા લોકો કોણ હતા? કોના આશીર્વાદથી નવાબી કાળની આ કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરવામાં આવી? જનતા હવે આ મામલે કલેક્ટર અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી રહી છે જેથી કરીને આ ઐતિહાસિક મિલકતની કતલ કરનારા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. નવાબે પરવીન બાબીના દાદાને બામણગઢ ગામ ગરાસમાં આપ્યું હતુંજૂનાગઢ બાબી પરિવારના સેક્રેટરી રેહાન બાબીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢમાં અંદાજે 200 વર્ષ સુધી નવાબી કાળનું શાસન રહ્યું હતું. તે સમયગાળા દરમિયાન બાબી પરિવારને જૂનાગઢની આસપાસના અનેક ગામડાઓ ગરાસમાં આપવામાં આવતા હતા. જે પૈકી જૂનાગઢના નવાબે જૂનાગઢ નજીક આવેલા બામણગઢ ગામને પરવીન બાબીના દાદાને ગરાસમાં આપ્યું હતું. પરવીન બાબીના પિતા વલી મોહમ્મદ ખાન બાબી પોતે પણ તેમના પરિવારના એકમાત્ર સંતાન હતા અને તેઓ વ્યવસાયે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. આ પણ વાંચો: જૂનાગઢના નવાબ પાસે તમામ બ્રીડના કૂતરા હતા માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હતોપરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ, 1954ના રોજ જૂનાગઢના આ બાબી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા,વલી મોહમ્મદ ખાન અને જમાલ બખ્તેના લગ્નના 14 વર્ષ બાદ પરવીનનો જન્મ થયો હોવાથી તેઓ પરિવારના લાડકવાયા અને એકમાત્ર સંતાન હતા. તેમની માતા જમાલ બખ્તેને ત્રણ બહેનો હતી. પરવીન બાબીના પિતાની કબર આજે પણ જૂનાગઢના 'બાબી હેરિટેજ કબ્રસ્તાન'માં આવેલી છે, જે તેમના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. 1973માં 'ચરિત્ર' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરીપરવીન બાબીએ તેમનું પ્રારંભિક શિક્ષણ જૂનાગઢની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદ સ્થાયી થયા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં B.A. અને M.A.ની પદવીઓ મેળવી. કોલેજ દરમિયાન જ તેમની ઊંચાઈ અને આધુનિક પશ્ચિમી દેખાવને કારણે તેઓ મોડેલિંગ તરફ વળ્યા હતા. 1972માં તેમને ફિલ્મી દુનિયામાં પ્રથમ તક મળી અને 1973માં 'ચરિત્ર' ફિલ્મથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જોકે આ ફિલ્મ નિષ્ફળ રહી, પરંતુ તેમની સુંદરતાએ આખા બોલિવૂડનું ધ્યાન ખેંચ્યું હતું. 1976માં 'Time Magazine'ના કવર પેજ પર સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યા1970 અને 80ના દાયકામાં પરવીન બાબીએ હિન્દી સિનેમામાં ગ્લેમરની નવી વ્યાખ્યા આપી. 1974ની 'મજબૂર' અને 1975ની 'દીવાર' જેવી ફિલ્મોએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. તેમણે અમિતાભ બચ્ચન સાથે 'અમર અકબર એન્થોની', 'નમક હલાલ', 'કાલિયા' અને 'શાન' જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી. તે સમયે જ્યારે મોટાભાગની અભિનેત્રીઓ પરંપરાગત પોશાકમાં જોવા મળતી, ત્યારે પરવીને વેસ્ટર્ન આઉટફિટ્સ અને પોતાની ખાસ હેરસ્ટાઇલ દ્વારા આધુનિકતાનો ચીલો ચીતર્યો હતો. વિદેશથી પરત આવતા જ એકલતાના અંધકારમાં ધકેલાઈ ગયાતેમની ફિલ્મી સફળતાની પાછળ તેમનું અંગત જીવન અનેક સંઘર્ષોથી ભરેલું રહ્યું. ડેની ડેન્ઝોંગ્પા, કબીર બેદી અને મહેશ ભટ્ટ સાથેના તેમના પ્રેમસંબંધો ખૂબ જ ચર્ચાયા, પરંતુ કમનસીબે તેઓ ક્યારેય લગ્ન કરી શક્યા નહીં. 1980ના દાયકાના મધ્યમાં તેમને 'પેરાનોઈડ શિઝોફ્રેનિયા' જેવી ગંભીર માનસિક બીમારીએ ઘેરી લીધા. આ બીમારીના કારણે તેમને એવો ભ્રમ થતો કે મોટી હસ્તીઓ તેમને મારી નાખવા માંગે છે. બીમારી વકરતા તેઓ 1983માં અચાનક ફિલ્મી દુનિયા છોડી વિદેશ ચાલ્યા ગયા અને જ્યારે 1989માં પરત ફર્યા ત્યારે તેઓ એકલતાના અંધકારમાં ધકેલાઈ ગયા હતા. મુંબઈના ઘરમાંથી મૃતદેહ મળ્યોપરવીન બાબીનો અંત અત્યંત કરુણ રહ્યો. 20 જાન્યુઆરી, 2005ના રોજ મુંબઈના જુહુ સ્થિત તેમના ફ્લેટમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ડાયાબિટીસ અને ગેંગરીનને કારણે તેમનું અવસાન થયું હતું, જેની જાણ દુનિયાને બે દિવસ પછી થઈ હતી. તેમના મૃત્યુ બાદ તેમની કરોડોની મિલકત માટે લાંબો કાનૂની વિવાદ ચાલ્યો. ઘણા સંબંધીઓએ મિલકત પર દાવો કર્યો હતો. અંતિમ ઈચ્છા અને વસિયત મુજબ પરવીન બાબીની મિલકતની વહેંચણી કરાઈપરવીન બાબીની અંતિમ ઈચ્છા અને વસિયત મુજબ તેમની મિલકતની વહેંચણી કરવામાં આવી, જેમાં 80% હિસ્સો ગરીબ મહિલાઓ અને બાળકોની સહાય માટે 'પરવીન બાબી ટ્રસ્ટ'ને, 10% હિસ્સો તેમની માતૃસંસ્થા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજને અને બાકીનો 10% હિસ્સો તેમના મામા મુરાદખાન બાબીને આપવામાં આવ્યો, જેમણે અંતિમ સમય સુધી તેમની સારસંભાળ રાખી હતી. આ પણ વાંચો: ફ્લેટમાં 3 દિવસ સુધી સડી હતી પરવીનની લાશ

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:00 am

જ્યારે જાસૂસોએ ગઝનવી સામે સોમનાથનો વૈભવ વખાણ્યો:3 વર્ષની તૈયારી, 80 દિવસમાં પ્રભાસ પહોંચ્યો, મંદિર બચાવવા બ્રાહ્મણોએ તલવારો ઉગામી

વાત છે ઈ.સ. 1022ની…અત્યારના અફઘાનિસ્તાનમાં પહાડીઓ વચ્ચે આવેલા ગઝની નામના રજવાડામાં રાજાનો દરબાર ભરાયો હતો. રાજા કે જેની ઓળખ મહમુદ ગઝનવી. પણ તેની છાપ રાજા કરતા લૂંટારા જેવી વધારે હતી. તેની આંખોમાં રાજ્ય વિસ્તાર કરતાં પણ ધનનો અખૂટ લોભ વધુ છલકાતો હતો. 24 વર્ષના શાસનમાં તે વિવિધ રજવાડા-કબિલા પર 15 વખત આક્રમણ કરીને બેફામ લૂંટ મચાવીને ખજાનો ભરી ચૂક્યો હતો. હવે, દરબારમાં વાત ચાલી કે લૂંટ ક્યાં કરવી? અને નામ ચર્ચાયું સોમનાથનું. ગઝનવીના દરબારમાં સોમનાથનું નામ ગૂંજવા પાછળનું કારણ પણ વિચારતા કરી દે એવું છે. વેપારી અને ફકીરના વેશમાં રખડીને ગઝનવીના જાસૂસો માહિતી ભેગી કરતા ભારતના રાજાઓ કરતા મહેમુદ ગઝનવીની એક રણનીતિ સૌથી અલગ હતી. તેણે જાસૂસી વિભાગ ખોલ્યો હતો. મહમુદ ગઝનવીના જાસૂસો વેપારી કે ફકીરના વેશમાં ગામે-ગામ ઘૂમી વળતા. તે અલગ-અલગ પ્રદેશો, લોકો, તેમના રીત-રિવાજો, માર્ગો અને નદીઓની ઝીણામાં ઝીણી માહિતી ભેગી કરતા હતા. મહમુદે મોકલેલા જાસૂસોએ ભારતના અલગ-અલગ પ્રદેશો, રાજાઓ, મંદિરો અને ધનિકોની માહિતી તેના દરબારમાં આપી. મહમુદ ગઝનવીનો એક વજીર હતો, નામ હુસેન મયમંદી. વજીરે મહમુદને એક રીતે કટાક્ષ કરતા કહ્યું, “સમુદ્ર તટે ‘સુમનાત’ નામનું મહાન નગર છે. જે મક્કાની જેમ જ હિન્દુઓ માટે પવિત્ર છે. તેની મૂર્તિ પણ સર્વશ્રેષ્ઠ છે. વિશ્વના કોઈ પણ રાજાના ખજાનામાં ન હોય એટલું ધન ત્યાં (સોમનાથમાં) છે. એ ખજાનો ન મેળવો તો અત્યાર સુધી મેળવેલી જીત નકામી છે.” આ વાતમાં ખાસ જાસૂસોએ પણ સૂર પૂરાવ્યો. ઇતિહાસના પાના પર લખાયેલું છે એ મુજબ સોમનાથનું ગગનચૂંબી શિખર, પાછળ અફાટ સમુદ્ર જે જાણે દૂર ક્ષિતિજે આકાશ સામે મિલન કરતું હોય! વળી સભામંડપ, રંગમંડપના શંકુ આકારના ઘૂમ્મટ અને વિશાળ પ્રાંગણ. મંદિરની આસપાસ જાણે પ્રદક્ષિણામાં મૂકેલા નાના અસંખ્ય દેરા! સુવર્ણથી મઢેલી મૂર્તિઓ અને સોનાનો વિશાળ ઘંટ, મોટાભાગના દરવાજા સોને મઢેલા, જ્યાં દેવોના દેવનો સાક્ષાત વાસ હોય ત્યાંની દિવ્યતા તો એવી કે કોઈની પણ આંખો આંજી દે! ગઝનવીએ અત્યાર સુધીમાં સુકું રણ, નિર્જન જમીન અને સૂકી હવામાં ધૂળ ઓકતા પ્રદેશો જ જોયા હતા. સમુદ્ર કેવો હોય એની તો તેણે માત્ર વાતો જ સાંભળી હતી, ક્યારેય જોયો ન હતો. પણ સોમનાથની આવી ભવ્યતા વિશે જાણ્યા બાદ મહમુદ ગઝનવીની લાલચ પરાકાષ્ટાએ પહોંચી. તેને ખ્યાલ હતો કે પારકા અને અજાણ્યા પ્રદેશમાં 1100 કિલોમીટર કરતા વધુ દૂર જઈને આક્રમણ કરવું, લૂંટ મચાવવી અને ત્યાંથી પરત આવવું એ સામાન્ય બાબત છે જ નહીં. મૃત્યુ સુધીના તમામ જોખમોની સંભાવના હોવા છતાં ધનલાલચુ મહમુદ ગઝનવીએ નિર્ણય ન બદલ્યો. આ રીતે એક ક્રુર શાસકના મનમાં ભારતની અસ્મિતા સમાન સોમનાથને લૂંટવાના બીજ રોપાયા, જે વૈશ્વિક ઇતિહાસનું એક કાળું પ્રકરણ બનવાનું હતું. ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વના ઇતિહાસમાં સૌથી નિર્દય, અસહિષ્ણુ અને લોહિયાળ આક્રમણ એટલે સોમનાથ પર મહમુદ ગઝનવીએ કરેલી ચડાઈ. જેને 1 હજાર વર્ષ પૂરા થયા છે. ધન્યધરા સોમનાથે આવા તો અનેક આક્રમણો વેઠ્યા. તેમ છતાં તેની ખ્યાતિ, શ્રદ્ધા, દિવ્યતા અને વૈભવમાં કોઈ ઓટ આવી નથી. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે વિવિધ ઇતિહાસકારોના મત, પુસ્તકો અને જાહેર ઉપલબ્ધ માહિતીના આધારે વાંચકો માટે એક ખાસ લેખ તૈયાર કર્યો છે. જ્યારે એક ગુલામ બની ગયો શહેનશાહ…નાસર હાજી નામના વેપારીએ બજારમાંથી સબક્તગીન નામનો ગુલામ ખરીદ્યો હતો. ઇતિહાસકારો મુજબ આ ગુલામ બૌદ્ધ કે આર્ય ધર્મ પાળતો હતો પણ તેણે ઇસ્લામ ધર્મ અપનાવવો પડ્યો. તેનું બુદ્ધિચાતુર્ય અને શક્તિની ઘણી ચર્ચા થવા લાગી. સબક્તગીનનું નસીબ ચમક્યું અને તેને અલપ્તગીન નામના એક કબિલાના રાજાએ ખરીદ્યો અને સેનાપતિ બનાવી દીધો. સબક્તગીને એકવાર આક્રમણ કર્યું અને ગઝની નામના કસબા પર કબજો જમાવી લીધો. ભાઈની હત્યા કરીને ગઝનવી ગાદી પર બેઠોસબક્તગીનને ભલે ગાદી મળી ગઈ પણ તેની છાપ અંતે તો ગુલામ તરીકેની જ હતી. એટલે ઝાબુલી નામની એક સામાન્ય મહિલા સાથે તેને લગ્ન કરવા પડ્યા. જેનાથી તેને મહમુદ નામનો પુત્ર થયો. (જે આગળ જતાં મહમુદ ગઝનવી તરીકે ઓળખાયો.) સમય જતાં સબક્તગીને અમીરપદ મળ્યું અને તેને જેણે સેનાપતિ બનાવ્યો હતો એ અલપ્તગીનની દીકરી સાથે લગ્ન કર્યા. બીજી પત્નીથી ઈસ્માઈલ નામે દીકરો જન્મ્યો. આમ તો મહમુદ ગઝનવી સબક્તગીનનો મોટો પુત્ર હતો. પરંતુ મહમુદની માતા રાજવી કુળની ન હોવાથી પોતાના મૃત્યુ પહેલાં નાના દીકરા ઇસ્માઇલને ગાદી સોંપવાનું નક્કી કર્યું. આ વાત મહમુદના ગળે ન ઉતરી અને તેણે લોહીના સંબંધ લજવીને ગઝની ઉપર ચડાઈ કરી દીધી. ઇસ્માઇલે જેમ-તેમ કરીને બે વર્ષ સુધી રાજ કર્યું પણ 998ની સાલના માર્ચ મહિનામાં તેને નમવું પડ્યું અને મહમુદની શરણાગતિ સ્વીકારી. મહમુદે તેના ભાઈ ઇસ્માઇલને કેદ કર્યો અને કાવતરાના આરોપ લગાવી મારી પણ નાખ્યો. આમ, વિશ્વના સૌથી ક્રૂર શાસક કે લૂંટારામાં જેની ગણના થાય એવા મહમુદ ગઝનવીએ સિંહાસન સંભાળ્યું. ઇતિહાસકારોના મતે મહમુદ ગઝનવીને પોતાના કસબા કે રજવાડા પર શાસન કરવામાં વધારે રસ ન હતો. તે વૈભવ અને ધનનો ભૂખ્યો હતો. પ્રજાબંધુ રાજા તરીકેના તેમાં લક્ષણો હોય એવો ઊંડાણથી ઇતિહાસમાં ઉલ્લેખ નથી. ગઝનીની સત્તા હાથમાં આવ્યા બાદ ઇ.સ. 1000માં તેણે જલાલાબાદ પાસે લામધાનની તળેટીમાં રાજા જયપાલ સામે યુદ્ધ કર્યું અને જીત મેળવી. ત્યાર બાદ આગામી 22 વર્ષ સુધી અલગ-અલગ 15 સ્થળોએ મોટા આક્રમણો કર્યા અને બેફામ રીતે લૂંટ મચાવી ખજાનો ભેગો કર્યો. સોમનાથના વૈભવની વાત હજુ મહમુદ ગઝનવીના કાને આવી ન હતી. અઢળક સંપત્તિની લાલસા ધરાવતા મહમુદ ગઝનવીએ લગભગ ત્રણ વર્ષ સુધી તો માત્ર રણનીતિ બનાવી અને પછી ગઝનીથી નીકળવાની તારીખ નક્કી થઈ, હિજરી સન 416ના શાબાન મહિનાની 22મી તારીખ. એટલે અંગ્રેજી કેલેન્ડર મુજબ 18 ઓક્ટોબર, 1025 અને સોમવારનો દિવસ. જાસૂસોએ આપેલી સોમનાથની બાતમી બાદ કોઈપણ ભોગે મહમુદ ગઝનવી લૂંટ ચલાવવા માગતો હતો. એટલે તેણે સેનાની સંખ્યા વધરાવા માટે આ આક્રમણને ‘જેહાદ’નું નામ આપ્યું. મુલ્તાનમાં ગઝનવીને લાગ્યું કે સેના વિખેરાઈ જશેઇતિહાસમાં અંકાયેલા કિસ્સા પ્રમાણે 9મી નવેમ્બર, 1025ના રોજ મહમુદ ગઝનવીની સેના મુલતાન પહોંચી. એ સમયે રમઝાન મહિનો ચાલી રહ્યો હતો. રોઝા રાખવાના કારણે તેની સેનાને મુશ્કેલી પડી રહી હતી. મહમુદને ડર લાગ્યો કે ક્યાંક સેના વિખેરાઈ ન જાય અથવા બળવો પણ થઈ શકે. એટલે સમય સંજોગોને પારખીને રમઝાન માસ પૂરો ન થાય ત્યાં સુધી મુલતાનમાં જ ધામા નાખી રાખવાનું નક્કી કર્યું. પણ આ દરમિયાન તેણે જાસૂસો અને ભોમિયાઓને આગળના રસ્તે રવાના કરી દીધા. મહમુદ ગઝનવી સુધી જાણકારી પહોંચી કે આગળ જતા રસ્તામાં મોટું રણ આવી શકે છે. (આજના રાજસ્થાનની આસપાસનો વિસ્તાર) જ્યાં એક ટીપુંય પાણી મળે એવી શક્યતા નથી. એટલે અજાણ્યું રણ પાર કરવા માટે દરેક સૈનિકને બે ઊંટ સોંપ્યા, જેના પર પાણીની મશકો લાદી. બળવાન રાજા આડે આવે નહીં એટલે રણનો માર્ગ પસંદ કર્યોકહેવાય છે કે ગઝનવીએ અંગત સામાન બીજા 20 હજાર ઊંટ પર રાખ્યો અને 26 નવેમ્બર, 1025ના રોજ મુલતાનની છાવણીના તંબૂ ઉખેડી પૂર્વ દિશા તરફ નીકળી પડ્યો. આ આકરો રસ્તો પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે તેને કોઈ બળવાન રાજાઓ નડે નહીં. માંડ રણ પાર કરીને ગઝનવી અત્યારના જેસલમેરથી 15 કિલોમીટર દૂર આવેલા લોંદ્રવા નામના રજવાડા સુધી પહોંચ્યો. ત્યાં રાજા રાવળ અમરસિંહનું રાજ હતું. તેણે આખા નગરને ઘેરી લીધું, ક્ષત્રિય સેનાએ તેનો શક્ય હોય એટલી મજબૂતીથી મુકાબલો કર્યો. પણ સૂર્યાસ્ત થતાં જ નિયમ અને પરંપરા મુજબ યુદ્ધ રોકી દીધું. જ્યારે ગઝનવીએ પાટણમાં કહેર વર્તાવ્યોલોંદ્રવાથી નીકળ્યા પછી ગઝનવીની સેના માટે પડકાર હતો અણહિલવાડ પાટણ. જ્યાં ભીમદેવ-1નું રાજ હતું. કેટલાય ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ભીમદેવે અગાઉ ઘણા યુદ્ધો કર્યા હતા. પણ ગઝનવીનો સામનો કરવાને બદલે ભીમદેવને પલાયન કરવું યોગ્ય લાગ્યું. ન જાણે કઈ પરિસ્થિતિમાં આ નિર્ણય લેવાયો હશે પણ આક્રમણકારી ગઝનવીને મોકળો માર્ગ મળી ગયો. તેણે પાટણમાં પ્રવેશ કરી લૂંટફાટ કરી, મંદિરો નષ્ટ કર્યા. પાટણમાં ગઝનવીની સેનાએ વિસામો ખાધો, ઊંટો પર ખાદ્યસામાન અને પાણી ભર્યું. આમ, પાટણનો પડાવ આટોપીને આગળ વધ્યો. પણ મોઢેરા પહોંચતા જ તેણે ધાર્યું ન હતું એવી પરિસ્થિતિ ઊભી થઈ. મોઢેરામાં 20 હજાર રાજપૂતોએ ગઝનવીનો સામનો કર્યોપાટણના રાજા ભાગી જતાં મહમુદ ગઝનવીને છૂટ્ટો દોર મળી ગયો હતો. પરંતુ મોઢેરામાં વીસ હજાર રાજપૂતો ખુલ્લી તલવારે ગઝનવીને પડકારવા માટે ઊભા હતા. પરિણામનો અંદાજો તો હતો. તેમ છતાં પાટણમાં કરેલા નરસંહાર અને મંદિરો પર કરેલા હુમલાના કારણે રાજપૂતોનું લોહી ઉકળી ગયું હતું પણ કોઈ સેનાપતિ ન હતું. ગઝનવીના આક્રમણ સામે આ સેના ટકી ન શકી અને હજારો રાજપૂતોએ શહીદી વહોરી. મોઢેરા પહોંચેલા ગઝનવીએ સ્વચ્છ પાણીના જળકુંડ જોયા, તે આશ્ચર્યચકિત હતો. તેની સેનાએ સૂર્યમંદિર સહિત અનેક ધાર્મિકસ્થાનોને ખંડિત કર્યા અને આગળ વધી. પણ ભાલ પહોંચતા સુધીમાં તેના સૈનિકો રોગચાળામાં સપડાયા અને ઘણા મૃત્યુ પામ્યા. જો કે ગઝનવીને તો જાણે ક્યાં કોઈની પરવાહ હતી! કોઈની પણ ચિંતા કર્યા વગર ગઝનવી સેના સાથે આગળ વધતો દેલવાડા પહોંચ્યો. દેલવાડા એટલે ઉના પાસે આવેલું એક નગર, જ્યાંથી પશ્ચિમ દિશામાં સોમનાથ લગભગ 80 કિલોમીટર થાય. 80મા દિવસે ગઝનવી સોમનાથની પાદરે પહોંચ્યોએવું કહેવાય છે કે મહમુદ ગઝનવી દેલવાડા હતો ત્યારે અચાનક હવામાન બદલાયું, ગાઢ ધુમ્મસ છવાઈ ગયું અને કોઈનો ચહેરો પણ ન દેખાય એટલું અંધારું થઈ ગયું. લોકોએ આને મહાદેવનો ચમત્કાર કહ્યો. હાલત તો એવી પણ થઈ કે ગઝનવીનું મનોબળ હલી ગયું પણ આખરે તેણે દેલવાડાને એની હાલત પર છોડીને સોમનાથ બાજુ તાત્કાલીક પ્રયાણ કરવા સેનાને આદેશ આપ્યો. ગઝનીથી નીકળ્યાના 80 દિવસ બાદ 6 જાન્યુઆરી, 1026ના રોજ મહમુદ ગઝનવી સોમનાથ પહોંચ્યો. ગઝનવી જાસૂસો અને લોકવાયકામાં સોમનાથની જેટલી ખ્યાતિ સાંભળી હતી અને મનમાં તસવીર ઉપજાવી હતી એનાથી અનેકગણી ભવ્યતા તેની આંખો સામે હતી. તેણે જીવનમાં પહેલીવાર સમુદ્ર જોયો. મંદિરની રક્ષા કાજે બ્રાહ્મણોએ તસવાર-ઢાલ ઉપાડ્યાવિનાશની યોજના તેની આંખોમાં તરવરતી હતી પણ આક્રમણકારી ગઝનવી ઘણા શુકન-અપશુકન અને વહેમમાં માનતો હતો. તેની સેના પ્રભાસ પાટણના પાદરે પહોંચી ત્યારે ગુરુવાર હતો. જો તે એ જ દિવસે હુમલો ન કરે તો બીજા દિવસે શુક્રવારની બપોરની નમાઝ પછી જ હુમલો કરાય એમ એનું માનવું હતું. એટલે બીજા દિવસની રાહ જોયા વગર જ સેના સાથે પ્રભાસ પાટણમાં ઘૂસી ગયો. સોમનાથની સુરક્ષા માટે અલગથી કોઈ સૈન્ય ન હતું, ત્યાં માત્ર મેનેજમેન્ટ માટે કેટલાક રક્ષકો હતા. તેમણે સ્થાનિક જનતા સાથે મળીને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. બ્રાહ્મણોએ પણ તલવાર અને ઢાલ ઉપાડ્યા. ગઝનવીની સેના આમ તો યુદ્ધથી ટેવાયેલી હતી છતાં તેને આવા જવાબની કલ્પના ન હતી. એટલે મનોબળ નબળું પડતું જણાયું. જૂનાગઢથી મદદ માટે સેના આવી અને ગઝનવીની સેના ફફડીશુક્રવારે પરોઢિયે સેનાપતિએ સેનાને ઉશ્કેરી. “આટલી લાંબી સફર બાદ પરાજીત થઈને ગઝની જવું, તેના કરતા મરવું સારું” એવું કહીને જાણે પ્રાણ પૂર્યા. સોમનાથ પર થયેલા હુમલાની જાણ કોઈક રીતે જૂનાગઢના રા-નવઘણને થઈ અને તેમણે મદદ માટે સેના મોકલી. ગુરુવાર રાત સુધીમાં સેના પ્રભાસ પહોંચી ગઈ. રા-નવઘણના સેનાપતિ મહીધર અને મંત્રી શ્રીધરે મોરચો સંભાળ્યો અને ગઝનવીની સેનાને હંફાવી દીધી. એક સમયે તો એવું લાગ્યું કે ગઝનવીનો હુમલો નિષ્ફળ ગયો. પણ બીજા દિવસે વધારે આક્રમકતાથી તેણે હુમલો કર્યો, સાંજ સુધી યુદ્ધ ચાલ્યું. આક્રમણકારીઓએ ખજાનો લૂંટીને ઢગલો કર્યોબીજી તરફ લૂંટારૂ બનેલી ગઝનવીની સેના સામે જે પણ આવ્યું તેના પ્રત્યે જરાય ઉદારતા કે માનવતા દાખવ્યા વગર લોહીથી તલવારો રંગતા ગયા. 50 હજારથી વધુ લોકોએ સોમનાથમાં જીવ ગુમાવ્યો. આખરે ગઝનવીનું લશ્કર સોમનાથ મહાદેવ સુધી પહોંચી ગયું. મંદિરે પહોંચીને ગઝનવી તેને નિહાળવા લાગ્યો. આવી ભવ્યતા જોઈને પણ તેના મનમાંથી વિધ્વંસની આગ શાંત ન થઈ. તેણે સેનાને મંદિરની સુંદરતા વધારતા અનમોલ રત્નો, મણિઓ અને હીરાજડિત દીવાલોમાં તોડફોડ કરાવીને બધો જ કિંમતી ખજાનો એકઠો કરવાનું કહ્યું. જોતજોતામાં જ સોના અને ચાંદીની વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મંદિરમાં ઘણી એવી વસ્તુ હતી જે તોડફોડ કરવા છતાં પણ નીકળી નહીં. મંદિરનું મહાત્મ્ય ન સમજનારી એ સેનાએ ઘણી જગ્યાએ આગ લગાવી દીધી. ભૂખ્યા વરુની માફક સેનાએ હાથમાં જે પણ આવ્યું તેને એકઠું કરીને ગઝની લઈ જવા માટેની તૈયારી કરી લીધી. આમ, સોમનાથમાં ગઝનવીએ ઘણા સ્ત્રી-પુરુષોને તેણે ગુલામ બનાવ્યા. આશરે 10 કરોડ દિનારની લૂંટ મચાવી હોવાનું ઇતિહાસકારો લખે છે. જો કે ગીર સોમનાથ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ પર આ આંકડો 2 કરોડ દિનાર હોવાનું લખ્યું છે. લૂંટ કરીને પાછો ફરે ત્યારે 3 રાજાઓએ ગઝનવીને ઘેરવાની રણનીતિ બનાવીમહમુદ ગઝનવીએ સોમનાથમાં લૂંટ ચલાવીને હિન્દુ ધર્મને માનનારા લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. એટલું જ નહીં, સોમનાથ પહોંચ્યો એ પહેલાં અનેક રાજાઓ પર આક્રમણ કરીને વિનાશ વેર્યો હતો. એટલે તેનો બદલો લેવા માટે એક “ગઠબંધન” તૈયાર થયું. માળવામાં જે તે સમયે વિખ્યાત રાજા ભોજનું શાસન હતું. સંભવતઃ અજમેરની આસપાસનો વિસ્તાર વિશળદેવ ચૌહાણને આધિન હતો. જ્યારે પાટણમાં ભીમદેવ-1 તો ગઝનવીએ અગાઉ કરેલા હુમલાના કારણે બદલો લેવાના મૂડમાં હતા. એટલે તેમણે વિદેશી આક્રમણકારીને આંતરી લેવા રણનીતિ બનાવી. સોમનાથથી પરત ફરી રહેલો ગઝનવી જ્યાં સુધી મુલ્તાન ન પહોંચે ત્યાં સુધી તેના પર ખતરો ઓછો ન થાય. મુલ્તાન પહોંચવા માટે તેની પાસે ત્રણ રસ્તા હતા. જો તે જ્યાંથી આવ્યો હતો એ રસ્તે એટલે કે આબુ તરફ જાય તો ત્યાં વિશળદેવ ચૌહાણ ખુલ્લી તલવારે રાહ જોઈ રહ્યા હતા. માળવાના રસ્તે રાજા ભોજ તૈયાર બેઠાં હતા અને જો કચ્છ બાજુ વળે તો કંથકોટના કિલ્લામાં ભીમદેવ-1 પણ સૈન્ય સાથે મહમુદને આંતરવા માટે સજ્જ હતા. કચ્છથી સિંધ તરફ જતા ગઝનવી ભૂલો પડ્યો અને પાણી માટે ભટકતા સૈનિકો મર્યા અંતે મહમુદે કચ્છ બાજુ થઈને જવાનું નક્કી કર્યું, જ્યાં તેનો સામનો ભીમદેવ-1ની સેના સામે થવાનો હતો. ગઝનવીના લશ્કરે કંથકોટના કિલ્લા પર આક્રમણ કરી લીધું. ફરી એકવાર ભીમદેવ-1ને ભાગી જવું યોગ્ય લાગ્યું. મહમુદની સેનાએ બેરહેમ બનીને ત્યાં પણ સંપત્તિ લૂંટી, કેટલાક લોકોને કેદ કર્યા અને આગળ વધી ગયો. પણ હવે તેના માટે આકરી પરિસ્થિતિ આવવાની હતી. કચ્છથી સિંધ તરફ જતાં રણમાં સેના સાથે ગઝનવી ભૂલો પડ્યો. પાણી ખૂટી ગયું અને સૈનિકો બીમારીમાં જકડાઈ ગયા. રસ્તો મળતો ન હતો અને ગઝનવીની આંખો સામે તેના સૈનિકો જીવ ગુમાવી રહ્યા હતા. જેમ-તેમ કરીને કેટલાક દિવસો પછી તે મન્સુરા પહોંચ્યો. મન્સુરા એટલે પાકિસ્તાનના સિંધમાં આવેલા આજના બ્રાહ્મણાબાદ નજીકનું એક નગર. મન્સુરામાં લૂંટારાને જ લૂંટી લેવાયો!મન્સુરા પહોંચ્યો એ સમયે ગઝનવીની સેના થાકી ગઈ હતી, અગાઉ કરેલા આક્રમણના કારણે ઘણા સૈનિકો મોતને ભેટ્યા હતા અને ઘણા બીમારીના કારણે ઢીલા પડી ગયા હતા. મન્સુરાના રાજા ખફેફને આ વાતની જાણ થઈ અને લૂંટારાને જ લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો. જેમ-તેમ કરીને ગઝનવી જીવ અને ખજાનો બન્ને બચાવીને ભાગ્યો. આગળ જતાં તેને પંજાબમાં જાટ સેનાએ આંતર્યો. સૈનિકોના જીવના ભોગે ગઝનવીએ ખજાનો તો સાચવ્યો પણ જાટોએ તેના ઊંટ, ઘોડા મોટી સંખ્યામાં જપ્ત કરી લીધા. ગઝનવીની જિંદગીના છેલ્લા દિવસો કેવા હતા?ગઝનવી પાસે સોમનાથ અને અન્ય રજવાડાઓમાંથી લૂંટેલી અઢળક સંપત્તિ હતી. પણ પોતાના પરિવારજનોને ગુમાવનારા લોકોના રૂદનથી ગઝનીમાં ગમગીની છવાઈ ગઈ. ગઝનવીએ ક્રૂર બનીને, નિર્દોષોનો લોહી વહાવીને મેળવેલી સંપત્તિ કોઈ કામની ન હતી. સોમનાથ લૂંટ્યા બાદ ગઝનવીનો અંત પણ એકદમ ફિલ્મી ઢબે થયો. કોઈ પ્રકોપ વેઠતો હોય એ રીતે તે એકબાદ એક બીમારીથી ઘેરાતો ગયો. ગઝનવીને આંતરડાનો ક્ષય થયો ત્યારે તેને લાગ્યું કે હવે ગમે ત્યારે જિંદગી સાથ છોડી શકે છે. એટલે તેણે સૈનિકોને એક આશ્ચર્યજનક આદેશ આપ્યો. હજારોની મેદની સામે ગઝનવી પોક પાડીને રડતો રહ્યોગઝનવીના આદેશને અનુસરીને થોડા જ સમયમાં એક ખુલ્લા મેદાનમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો. તેણે અત્યાર સુધીમાં જેટલો પણ ખજાનો લૂંટ્યો હતો તેને તાળાં મારેલા ઓરડામાંથી બહાર કાઢવામાં આવ્યો અને મંડપમાં લાવીને ગોઠવ્યો. ગઝનવી એકદમ અશક્ત થઈ ગયો હતો. તે પાલખીમાં બેસીને મંડપમાં પહોંચ્યો. ઈબ્નજાવઝી નામના ઈતિહાસકાર મહમુદ ગઝનવીની આ હાલત પર લખે છે, “સુલતાને માત્ર ધનસંચય કર્યો હતો ૫ણ કોઈ ગરીબને એક રાતી દમડી આપી ન હતી. એ માટે તે રડ્યો.” આ જ ઘટના પર પ્રો.નાઝિમે લખ્યું, “તે પ્રસંગે તેના જીવનકાળનું ભયંકર નાટક, બળતા નગરો, બરબાદ મહેલો, ભયગ્રસ્ત શરણાર્થીઓની કાળી ચીસો, મૃત્યુ પામતા લોકોની યાતનાઓ મહમુદને યાદ આવી હશે.” આમ, સોમનાથમાં લૂંટ ચલાવ્યાના માત્ર ચાર જ વર્ષમાં 30 એપ્રિલ, 1030ના રોજ 59 વર્ષની ઉંમરે મહમુદ ગઝનવીનો અંત આવ્યો. ગઝનવીના આક્રમણના કારણે ઘણા રાજાઓની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી હતી. એટલે માળવાના રાજા ભોજ, ભીમદેવ સોલંકી અને રા-નવઘણે અલગ-અલગ સમયે સોમનાથના પુનરોદ્ધાર માટે ખજાનો ખોલ્યો હોવાનો પણ ઇતિહાસ છે. આ ઉપરાંત પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહે પણ પોતાની માતા મિનળદેવીની આજ્ઞાને અનુસરીને સોમનાથ માટે દેવકાર્ય કર્યા હોવાનો ઉલ્લેખ છે. સોમનાથની ખ્યાતિ આજે વિશ્વભરમાં ફેલાયેલી છે. જ્યારે ગઝની શહેર અને તેના શાસકોને અફઘાનિસ્તાને પણ કાંઈ ખાસ યાદ રાખ્યા નથી. હાલના ગઝનીમાં 2 લાખ કરતા પણ ઓછી વસતિ છે. ધરાશાયી થયેલા કિલ્લા, વેરાન ટેકરીઓ એ આજના ગઝનીની ઓળખ છે. =========================માહિતી સ્ત્રોત-ધ લાઇફ એન્ડ ટાઇમ ઓફ સુલતાન મુહમ્મદ ઓફ ગઝના-મોહમ્મદ નાઝીમપ્રભાસ અને સોમનાથ- શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈસોમનાથ: ધ શ્રાઇન ઇટરનલ- કનૈયાલાલ મુનશીધ સ્ટ્રગલ ફોર એમ્યાર- આર.સી.મજુમદાર (રિસર્ચ- સોહેલ સૈયદ, ગ્રાફિક્સ- વિનોદ પરમાર)

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 6:00 am

યુવતીનું કરાયું કાઉન્સેલિંગ:સોશિયલ મીડિયાથી મળેલા યુવાનથી મોહભંગ થતાં આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવાઈ

સોશિયલ મિડીયાનો પ્રેમ જીવલેણ સાબિત થતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પાટણની 25 વર્ષીય યુવતીને વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય થયા પછી પ્રેમ થયો હતો. પરિવારે વિરોધ કર્યો ત્યારે યુવતી પ્રેમીની વાતમાં આવીને તેની સાથે ભાગી ગઈ અને કોર્ટ મેરેજ કર્યા હતા. પછી પ્રેમી તેને નશાની દવા ખવડાવીને 3 મહિના સુધી ગોંધી રાખી હતી અને બળજબરીથી સંબંધ રાખતો હતો. યુવતીએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે યુવકે ‘તું મારે પહેલી પ્રેમિકા નથી, 12મી છે’ તેમ કહીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. એટલુ જ નહીં રૂમની બહાર પણ નીકળવા દેતો નહોતો. આથી યુવતી આત્મહત્યા કરવા અડાલજ પાસેની કેનાલે પહોંચી હતી. યુવતીને ત્યાં જોઈને એક યુવકે 181 પર ફોન કર્યો હતો. અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીને બચાવી લીધી હતી. પછી કાઉન્સેલિંગ કરી આત્મહત્યાનો વિચાર દૂર કરાવ્યો અને માતા-પિતાને ફોન કરીને પાટણથી બોલાવી તેમનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીને પ્રેમી સામે ફરિયાદ કરવી ન હોય અને માતા-પિતા સાથે રહેવા જવું હોવાથી તેને પાટણ ખાતે મોકલી આપી હતી. કાળાજાદુના નામે ડરાવ્યા પછી છેતરીને સહી કરાવી મેરેજ કર્યાંતું ઘરેથી ભાગીને આવી છે, જેથી તારા માતા-પિતાએ તારા પર કાળા જાદુ કર્યો છે. જેથી આપણે અમદાવાદ જતા રહીએ કહીને યુવતીને લઈને અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેને નશાની દવાઓ પીવડાની સતત નશામાં રાખતો હતો. જે બાદ કાળાજાદુની જ વાત કરીને કોર્ટ મેરેજ કરાવી લીધા હતા. યુવતીને દવા આપવાનું બંધ કર્યુ અને હોશમાં આવવા લાગી ત્યારે તેને ખબર પડી કે તેને છેતરીને લગ્ન કર્યાં છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:58 am

જીવલેણ અકસ્માત:વકીલસાહેબ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું મૃત્યુ

બોપલના વકીલસાહેબ બ્રિજ પર 9મીએ વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતાં લારી લઈને જતા 50 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂકરી છે. બોપલના અખિલ કલવે લારી લઈને 9મીએ સવારે બ્રિજ પરથી પસાર થતા હતા. દરમિયાન અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે આવીને અખિલભાઈને ટક્કર મારી હતી, જેથી 20 ફૂટ ફંગોળાઈને દૂર પડેલા અખિલભાઈને ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયા હતા. અકસ્માતમાં લારી તૂટી ગઈ હતી. બીજી બાજુ અખિલભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અકસ્માત કરનાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:58 am

AIB માટે બાર કાઉન્સિલે જાહેરાત કરી:રાજ્યના 7144 વકીલો 14થી 23 સુધી રીચેકિંગ કરાવી શકશે

દેશની કોઈ પણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત પાસ કરવી પડતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી એઆઇબી પરીક્ષામાં 5 પ્રશ્નના ઉત્તરમાં વિસંગતતાની ચૂકના કારણે રાજ્યના 7144 ઉમેદવાર નાપાસ થયા હતા. આથી વિવાદ સર્જાતાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આન્સર કી અને ઓએમઆર શીટના રીચેકિંગની જાહેરાત કરી છે. ઉમેદવારોને રીચેકિંગની ઓનલાઇન એપ્લિકેશન માટે બીસીઆઇ તરફથી તાકીદનું જાહેરાનામું જારી કરી 10 દિવસનો સમય આપ્યો છે. જાહેરનામાંની વિગતો આપતાં ગુજરાત બાર કાઉન્સિલના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું કે પરિણામ કે ઓએમઆરનું રીચેકિંગ કરાવવા ઇચ્છતા ઉમેદવારો 14થી 23 જાન્યુ. સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ માટે ઉમેદવારોએ રૂ.500 ઓનલાઇન ફી ભરવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:57 am

IBની કુલ 3717 જગ્યાઓ માટે ભરતી કરાશે:આજે રાજ્ય સહિત દેશભરમાં આઈબીની ACIO ગ્રેડ-2ની બીજા તબક્કાની પરીક્ષા

આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તકના ઈન્ટેલિજન્સ બ્યુરો વિભાગની 3717 જેટલી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર (એસીઆઈઓ) ગ્રેડ-2 પોસ્ટ પર ભરતી માટે બીજા તબક્કાની (ટીયર-2) પરીક્ષા યોજાશે. અમદાવાદ સહિતના દેશભરના પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજાશે. અમદવાદ શહેરમાં સવારે 11થી 12 દરમ્યાન એક્ઝામ થશે. જેના માટે વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર્સનો સવારે 9.30નો રિપોર્ટીંગ ટાઈમ નક્કી કરાયો છે. આ અગાઉ પ્રથમ તબક્કાની એમસીકયુ મલ્ટીપલ ચોઈસ બેઝ 100 માર્ક્સની (ટીયર-1) એક્ઝામ 16,17,18મી સપ્ટેમ્બર 2025 દરમ્યાન દેશભરમાં લેવાઈ હતી, જેનું પરિણામ 21મી નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા આપનારા એક લાખથી પણ વધુ ઉમેદવારોમાંથી આશરે 37 હજાર જેટલાએ પ્રાથમિક તબક્કાની પરીક્ષા પાસ કરી છે. કોઈ પણ સ્નાતકની પદવી મેળવનારા આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. જનરલ ઉમેદવારોને માટે વય મર્યાદા 18થી 27 વર્ષની વય નક્કી કરાઈ છે, ઓબીસી કેટેગરીના ઉમેદવારોને માટે ત્રણ વર્ષની, એસસી,એસટી કેટેગરીના ઉમેદવારોને માટે 5 વર્ષની છૂટ અપાઈ છે. પસંદ થયેલા ઉમેદવારોના કાર્યક્ષેત્રની વિગતો જાહેર કરાતી નથીકામગીરીનો પ્રકાર : પસંદ થયેલા ઉમેદવારના કાર્યક્ષેત્રની વિગતો જાહેર થતી નથી, આતંકવાદ, નકલસલવાદ સહિતની સંવેદનશીલ બાબતોની માહિતી એકત્ર કરવાની મુખ્ય જવાબદારી આપવામાં આવે છે. ‘દેશભરમાંથી યંગ અને એનર્જેટિંક ઉમેદવારોને ગૃહ વિભાગ દેશ સેવા કરવા માટેની ઉત્તમ તકો પૂરી પાડે છે. આ નોકરીની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જે તે ઉમેદવારોની નોકરીને લગતા કાર્યક્ષેત્રની વિગતો ક્યાંય પણ જાહેર કરી શકાતી નથી. તેને સાઈલેન્ટ સર્વિસ પણ કહેવામાં આવે છે. -ડો હર્ષ પટેલ, ફેકલ્ટી સ્પિપા, સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત 50 માર્ક્સની પરીક્ષા,પાસ થનારને માટે 100 માર્ક્સનો ઈન્ટરવ્યૂં !આ પરીક્ષામાં કુલ 50 માર્ક્સની રહેશે. જેમાં એક 20 માર્ક્સનો નિબંધને લગતો પ્રશ્ન, અંગ્રેજી ગદ્યાર્થ ગ્રહણને લગતો એક 10 માર્ક્સનો પ્રશ્ન, જ્યારે સામાન્ય અભ્યાસને લગતાં કુલ 20 માર્ક્સના પ્રશ્નો પૂછાશે જેમાંનો દરેક પ્રશ્ન 2 માર્કનો રહેશે. ઉમેદવારોએ પરીક્ષા કસોટીમાં ખૂબ જ મર્યાદિત સમયમાં પોતાના ભાષા કૌશલ્યનો અને જ્ઞાનનો પરીચય આપવાનો હોય છે. આ પરીક્ષાઓમાં મુખ્યત્વે ગાણિતિક અભિરુચિ (નમ્બર્સ એપ્ટિટયુડ), બૌદ્ધિક તાર્કિક કસોટી,સામાન્ય અભ્યાસ, સાપ્રત્ત પ્રવાહ (કરન્ટ અફેર્સ), અંગ્રેજી ભાષાનુ ધોરણ 11-12 કક્ષાનું નોલેજ હોવુ અત્યંત જરૂરી છે. આ એક્ઝામમાં કટ ઓફ માર્ક્સના આધારે પસંદ થનારાં વિદ્યાર્થીઓને માટે 100 માર્ક્સનું એક ઈન્ટરવ્યૂં આપવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:56 am

ભાસ્કર એક્સક્લુસિવ:દીકરી સામેના પડકારો, લગ્નનોંધણીના કાયદામાં સુધારા માટે 13 હજારથી વધુ લોકો મત આપશે

સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા નિકોલસ્થિત અયોધ્યા ગ્રાઉન્ડમાં રવિવારે સાંજે 4 વાગ્યે ઐતિહાસિક ‘જનજાગૃતિ મહાસભા’નું આયોજન કરાયું છે. શહેરમાં પ્રથમવાર સમાજની દીકરીઓના હિત અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને કરાયેલા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં દીકરીઓ સામે આવતા પડકારો અને લગ્નનોંધણીના કાયદામાં જરૂરી સુધારા લાવવા માટે લોકમત કેળવવાનો છે. ખાસ કરીને પુખ્ત વયની દીકરીના લગ્નમાં માતા-પિતાની હાજરી અને મંજૂરી ફરજિયાત કરાય તે છે. એસપીજીના શહેર પ્રમુખ વિપુલ પાંચોટિયાએ જણાવ્યું કે કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમે એક મહિનાથી સઘન લોકસંપર્ક કર્યો છે. શહેરની વિવિધ સોસાયટીઓમાં રૂબરૂ જઈને મીટિંગો યોજી હતી અને હજારો પરિવારોને દીકરીઓ સાથે હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. અત્યાર સુધીમાં 17 હજાર લોકોને પાસ અપાયા છે જ્યારે 13 હજારથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. સમાજના યુવાનોને વ્યસનથી બચાવવા પણ આહ્વાન કરાશે. કડી, કલોલ, માણસા અને વિજાપુરમાં મળેલી સફળતા બાદ હવે અમદાવાદના આંગણે આ જનજાગૃતિનો જુવાળ જોવા મળશે. સમાજના યુવાનોને વ્યસનના દૂષણથી બચાવવા માટે પણ મંચ પરથી આહ્વાન કરાશે નિકોલમાં આજે સરદાર પટેલ ગ્રુપની જનજાગૃતિ મહાસભા મહાસભાના પાંચ મુખ્ય મુદ્દા• માતા-પિતાની મંજૂરી: લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી અને હાજરી કાયદાકીય રીતે ફરજિયાત બનાવવી.• સ્થાનિક નોંધણી: લગ્નની નોંધણી દીકરીના પોતાના રહેણાંક વિસ્તારમાં જ થાય તેવો આગ્રહ.• 45 દિવસની નોટિસ: લગ્ન પહેલાં રજિસ્ટ્રાર દ્વારા માતા-પિતાને 45 દિવસ અગાઉ લેખિત જાણ કરવી.• સ્થાનિક સાક્ષીઓ: લગ્નમાં સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિઓ પણ જે-તે વિસ્તારના જ હોવા જોઈએ.• એન્ટી રોમિયો સ્ક્વોડ: દીકરીઓની સુરક્ષા માટે દરેક વિસ્તારમાં એન્ટી રોમિયો સ્ક્વોડ કાર્યરત કરવી.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:54 am

જીવાદોરી કાપતી ચાઇનીઝ દોરી:આ તસવીરો તમને ડરાવવા માટે પણ નહીં બચાવવા માટે છે

મકરસક્રાંતિનો તહેવાર ઉલ્લાસ અને ઉમંગનો ઉત્સવ છે પણ રાજ્યમાં એવા ઘણા લોકો છે જેમના માટે આ તહેવાર સાથે પીડાદાયક સંસ્મરણો જોડાયેલા છે. કારણ છે ચાઇનીઝ દોરી. સરકારે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આ દોરીનું દૂષણ લોકોની જીવાદોરી સાથે રમત કરી રહ્યું છે. ઉત્તરાયણ નિમિત્તેની આ વિશેષ સિરિઝનો પ્રથમ રિપોર્ટ ચાઇનીઝ દોરીના કારણે આજીવન પીડા વેઠતા લોકો વિશે છે. આશય એટલો જ ઉત્સવ મનાવીએ પણ ચાઇનીઝ દોરી કે આવી કોઈપણ ઘાતક દોરીનો ઉપયોગ ટાળીએ. કેસ-1 • અમદાવાદના મિલન મિસ્ત્રી મોતનો સ્પર્શ થયો, પાંચ વર્ષ સુધી પીડા વેઠી કેસ-2 સુરતના પશુપતિ નર્મદા સિંહ બ્રિજ પાર કરે એ પહેલા દોરી ગળાને આરપાર થઈ ગઈ કેસ-3 • વડોદરાના ઈમરાન ચૌહાણ દોરીના વારે જમણી આંખ કાયમ માટે નબળી કરી દીધી કેસ-4રાજકોટના સાગર પરમાર દોરીનો ઘા એવો હતો કે કોઈ મદદ માટે આવ્યું નહીં

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:51 am

રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં બોપલના મુદ્દે થઈ ચર્ચા:સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુ:ખાવો બની ગઈ છે. રોડ પર કોર્મશિયલ દબાણના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. સાઉથ બોપલ તેમજ ઘુમા-શેલા તરફ જનારા માટે સોબો સેન્ટર એન્ટ્રી પોઈન્ટ છે. આ રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદે પાર્કિંગથી મુશ્કેલી સર્જાય છે. રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. હવે મ્યુનિ., ઔડા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી કરાશે. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકે રોડ સેફ્ટીની કમિટીની બેઠકમાં જણાવ્યું કે પાર્કિંગ માટેની જગ્યા મ્યુનિ. અને સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ભાડાપટ્ટે આપવામાં આવે છે. જેના કારણે પાર્કિંગ પર દબાણ ખડકીને ટ્રાફિકજામની સમસ્યા ઊભી કરે છે. રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરમાં દબાણ અને ટ્રાફિકજામની ચર્ચા થતી હોય છે. પરંતુ આ વખતે બોપલનો મુદ્દો ચર્ચાયો હતો. હવે પોલીસ-મ્યુનિ. તપાસ કરી દબાણો હટાવશેરોડ સેફ્ટી કમિટીના સભ્યે જણાવ્યું કે બેઠકમાં મોટાભાગે ટ્રાફિકજામની સમસ્યા અંગે પ્રશ્નો પૂછાતા હોય છે. સોબો સેન્ટરના રોડ તરફ જે સમસ્યા સર્જાય છે તે માટે ચર્ચા કરાઈ હતી અને તેનો ઉકેલ લાવવા માટે ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા ચર્ચા કરાઇ હતી. અને તેઓએ મ્યુનિ. અને સ્થાનિક પોલીસની કામગીરીનો ચિતાર બેઠકમાં રજૂ કર્યો હતો. જેશહેરના તમામ વિસ્તારોમાં દબાણ અને ટ્રાફિકની સ્થિતિ અંગેનો ચોક્કસ ચિતાર મેળવી શકાય છે. જોકે આવનારા દિવસોમા પોલીસ અને મ્યુનિ. એસ્ટેટ વિભાગ તપાસ કરીને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:44 am

SIRની કામગીરી:BLOને મતદારોનો સવાલ, યાદીમાં નામ છતાં નોટિસ મળી, તેનું કારણ શું?

એસઆઈઆરની પ્રક્રિયા હેઠળ બીએલઓ દ્વારા મતદારો માટે 4 દિવસના કેમ્પનું આયોજન કરાયું હતું. મતદારોએ યાદીમાં છે અને તેમ છતાં નોટિસ મળી છે તો તેનું કારણ શું? આ પ્રશ્ન સૌથી વધુ પૂછાયો હતો. જ્યારે જૂના ઘરના સરનામા પર એન્યુમરેશન ફોર્મ આવ્યું હતું પરંતુ ફોર્મ ભર્યું ન હતું તો હવે શું કરવાનું રહેશે? ઘરના સભ્યો અમુક સમય માટે વિદેશ જતા રહ્યા હોય તો તેઓના નામ જોડાવવા અંગે શું કરી શકાય? એન્યુમરેશન ફોર્મ ભરવાનો સમયગાળો વિતી ગયા હોવા છતાં હજુ ફોર્મ ભરવાના બાકી છે તો અમારે હવે ક્યાં જમા કરાવવાનું. અમદાવાદના 5524 બૂથો પર અંદાજિત દરેક બૂથ પર સરેરાશ 1 હજારથી 1200 મતદારો છે. જેમાં સરેરાશ 10થી 15 ટકાને સમસ્યા છે. ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ શકે છે. ત્યારબાદ કેટલા મતદાર કપાયા તે જાણી શકાશે. મતદારોએ બીએલઓને પૂછેલા મહત્ત્વના પ્રશ્નો સવાલ : મતદાર યાદીમાં નામ હોવા છતાં નોટિસ મળી છે હવે શું કરવાનું?જવાબ : નોટિસમાં લખેલી જગ્યાએ જઇને પુરાવા જમા કરાવવા પડશે. જૂના ઘરે એન્યુમરેશન ફોર્મ ગયું હતું પણ ભર્યું ન હતું હવે શું કરવાનું?હવે તમારે ફોર્મ-6 કે 8 ભરીને પોતાનું નામ જોડાઇ શકો છો. અમુક લોકો બિનકાયમી રીતે વિદેશ જતા રહ્યા છે તો હવે શું કરી શકાય?આ મતદાર ફોર્મ-6,8 ભરી પુરાવા આપી નામ જોડાવી શકે. એન્યુમરેશન ફોર્મ ભર્યું નથી તો હવે ક્યાં ભરવાનું?હવે એન્યુમરેશન ફોર્મ ભરી શકાશે નહીં.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:42 am

મ્યુનિ.નો તઘલખી નિર્ણય:રિવરફ્રન્ટ પર પક્ષીને ચણ નાખવા પર પ્રતિબંધ, પકડાશો તો દંડ થશે

અમદાવાદ શહેર જે હેરિટેજ મુલ્યો પર ગૌરવ લે છે તેમાં પક્ષીઓના ચણ માટે બનાવાતા ચબૂતરા પણ આગવી ઓળખ છે, અનેક વિસ્તારમાં ચબુતરા માટે કોર્પોરેટર પોતાના બજેટમાંથી ફંડ આપી ચબુતરા મુકાવે છે. હવે રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ નાંખનારને દંડ થઇ શકે છે. કૂતરાં સહિતના પ્રાણીઓ માટે રોટલી કે પછી કોઈપણ ખાદ્યપદાર્થ રિવરફ્રન્ટ પર નાખતા પકડાશો તો દંડ થશે. કૂતરા પકડવા માટે પણ એક વિશેષ સ્કવોડ સતત પેટ્રોલિંગ કરશે. રિવરફ્રન્ટ પર બર્ડ વોચિંગ માટેના વિશેષ કાર્યક્રમ યોજાતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે હવે રિવરફ્રન્ટના વિસ્તારમાં જાહેરમાં કોઇપણ જગ્યાએ પક્ષીઓ માટે ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સીએનસીડી વિભાગના તથા રિવરફ્રન્ટના કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરાશે. ભાસ્કર નોલેજમુંબઈ–પૂણેમાં કબૂતરને ચણ નાખવા પર રૂ.500નો દંડ છેમહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે જેવા શહેરોમાં જાહેર સ્થળોએ કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. કબૂતરોની ચરક અને પીંછામાંથી ફેલાતા ‘હાયપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ’ અને ‘ક્રિપ્ટોકોકોસિસ’ જેવા જીવલેણ શ્વસન રોગોને અટકાવવા આ પ્રવૃત્તિને ‘જાહેર ઉપદ્રવ’ જાહેર કરાઇ છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો આ આદેશનો કડક અમલ શરૂ કરાયો હતો. નિયમ ભંગ કરનાર કરનારને રૂ.500નો દંડ અથવા ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સી-પ્લેન શરૂ થયું ત્યારે ચણ પર કેટલાક વિસ્તારમાં પ્રતિબંધ હતોસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે સી-પ્લેન શરૂ કરાયું ત્યારે આ વિસ્તારમાં પક્ષીઓ માટે ચણ પ્રતિબંધીત કરવામાં આવ્યું હતું. તેમજ બહેરામપુરા વિસ્તારમાં પણ કેટલીક મટન શોપને પણ બંધ કરાવાઈ હતી. સી પ્લેન બંધ થયા પછી તે પ્રતિબંધ અચાનક ઉઠી ગયો હતો. GPMC એક્ટ હેઠળ કાર્યવાહી થશેજાહેરમાં પક્ષીઓને ચણ નાંખનાર કે પછી પશુઓ કૂતરા માટે ખાવાનું નાંખનાર લોકો પાસેથી મ્યુનિ. જીપીએમસી એક્ટના હેલ્થ બાયલોઝ હેઠળ સમાધાન શુલ્ક ( દંડ) વસૂલી શકે છે. કેટલાક કિસ્સામાં તંત્ર વહીવટી ચાર્જ વસુલે છે. જે રકમ મોટી હોઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:40 am

હવે અમદાવાદથી ગાંધીનગર-અક્ષરધામ સીધા જઈ શકાશે:મોદી સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો રૂટનું આજે લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 5 વાગ્યાની મહાત્મા મંદિર ખાતેથી મેટ્રો ફેઝ-2ના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કરશે. 7.8 કિમીના રૂટમાં 7 સ્ટેશન આવશે. આ રૂટ પેસેન્જરો માટે ઉત્તરાયણ બાદ શરૂ કરાય તેવી શક્યતા છે. મહાત્મા મંદિર સુધી મેટ્રોનું સંચાલન શરૂ થતા ફેઝ-2માં મંજૂર થયેલા 28.2 કિમી રૂટ તથા 22 સ્ટેશન ખુલ્લાં મુકાતાં અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 68 કિલોમીટરનું થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર સ્ટેશન પર લોકાર્પણ વિધિ કર્યા બાદ મેટ્રોમાં સફર કરે તેવી શક્યતા છે. આ રૂટ શરૂ થતા સચિવાલય-જૂના સચિવાલયના સરકારી કર્મચારીઓ ટ્રાફિકની ઝંઝટ વિના અમદાવાદથી ઓફિસ મેટ્રોમાં પહોંચી શકશે. અક્ષરધામ અને દાંડી કુટીરની વિઝિટે આવતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બનશે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણમહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોક-વેથી જોડાશે. આ ‘’મલ્ટી-મોડલ કનેક્ટિવિટી’’ને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે, તે મેટ્રો પકડી અમદાવાદ કે ગાંધીનગરના વિસ્તારોમાં જઈ શકશે. મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતા ગાંધીનગરના મુખ્ય સેક્ટર સીધા ગાંધીનગર રેલવે સ્ટેશને તથા અમદાવાદના રેલવે સ્ટેશન સાથે જોડાશે. મારા કામની વાત મેટ્રો ફેઝ-2 : 28.2 કિમીનો રૂટ અને કુલ સ્ટેશન 22 નવા શરૂ થનારાં 7 સ્ટેશન

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:38 am

ભાસ્કર એક્સક્લુસિવ:સોમવારે વાડજ સ્મશાનથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટ રોડ વાહનો માટે બંને તરફ બંધ, આશ્રમ રોડ ચાલુ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધીઆશ્રમ અને પગંત મહોત્વસમાં હાજરી આપવાના છે. બંને વીવીઆઈની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ પતંગ મહોત્સવ ખાતે 1 સંયુકત પોલીસ કમિશન, 6 ડીસીપી અને 4000 પોલીસ કર્મચારી - અધિકારીનો બંદોબસ્ત ગોઠવાયો છે. વલ્લભ સદન ખાતે પતંગ મહોત્સવની ઉજવણી હોવાથી નહેરુબ્રિજ-ગાંધીબ્રિજ ઉપર તેમજ ચારેબાજુ ધાબા પોઈન્ટ ઉપર 50થી વધુ ચેતક-એનએસજી કમાન્ડો તહેનાત રહેશે. એસપીજીની ટીમ સાથે શહેર પોલીસના અધિકારી-કર્મચારીએ વડાપ્રધાન-જર્મનીના ચાન્સેલરના રૂટ ઉપર રિહર્સલ કર્યુ હતું. આ કાર્યક્રમના કારણે સોમવારે વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો પશ્ચિમ-પૂર્વ તરફનો રિવરફ્રન્ટ રોડ વાહનો માટે બંધ રહેશે. જ્યારે આશ્રમ રોડ ચાલુ રહેશે. ગાંધીઆશ્રમના બંદોબસ્તની જવાબદારી સેકટર - 1 ના સંયુકત પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજરને જ્યારે રિવફ્રન્ટ ખાતેના બંદોબસ્તની જવાબદારી ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલને સોંપાઈ છે. 4 હજાર સ્થાનિક પોલીસ સામેલ શનિવારે આખા રૂટ પર પોલીસે રિહર્સલ કર્યુંવાડજ સ્મશાનગૃહ કટથી આંબેડર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો બંને બાજુ રોડ સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહ કટ થઈ વાડજ સર્કલથી ઉસ્માનપુરા થઈ ઈન્કમટેક્સ બ્રિજથી ટાઉનહોલ થઈને પાલડી જઈ શકશે. શનિવારે આખા રૂટ પર એસપીજીની ટીમ સાથે શહેર પોલીસના અધિકારી-કર્મચારીએ વડાપ્રધાન-જર્મનીના ચાન્સેલરના રૂટ ઉપર રિહર્સલ કર્યુ હતું.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:35 am

સિટી એન્કર:કોમનવેલ્થની તૈયારીઓ, કાંકરિયામાં દેશનો પહેલો મિની ગોલ્ફ કોર્સ બનાવી ખાનગી એજન્સીને આપી દીધો, હવે હાલત ભંગાર જેવી

કાંકરિયા લેકફ્રન્ટ વિસ્તારમાં 2013માં મ્યુનિ.એ 3.5 કરોડના ખર્ચે મિની ગોલ્ફ કોર્સ બનાવ્યો હતો. જો કે, અત્યારે આ ગોલ્ફ કોર્સ ભંગારની હાલતમાં બદલાઈ ગયો છે. કાંકરિયામાં હેરિટેજ વેલ્યુમાં ગણના થાય તેવો લોખંડના પુલ પર જાળવણીના અભાવે કચરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જ્યાં કોમનવેલ્થ માટે તૈયારી કરી રહ્યું છે ત્યાં ગોલ્ફ કોર્સની રમત માટેની આ જગ્યા અત્યારે ખરાબ સ્થિતિમાં છે. કાંકરિયા લેકફ્રન્ટમાં 15 ઓગસ્ટ 2013માં મ્યુનિ.એ પીપીપી મોડલ પર મિની ગોલ્ફ કોર્સ તૈયાર કરાયું હતું. તે સમયે આ પ્રકારનું મિની ગોલ્ફ ભારતનું પ્રથમ હતું. જે બાદ 12 વર્ષમાં આ ગોલ્ફ કોર્સની સ્થિતિ બદલાઈ ગઈ છે. જે કોન્ટ્રાક્ટરે પીપીપી મોડલ પર ચલાવવા માટે લીધો હતો તે આ સ્થળે યોગ્ય રખરખાવ કરે છે કે કેમ તે જોવાની તસ્દી પણ મ્યુનિ.એ લીધી નથી. સ્કાય વંડર્સ આ જગ્યા પીપીપી મોડલ પર ચલાવી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા મળ્યું છે. જોકે આ સ્થળે માત્ર એડવેન્ચરને લગતી કેટલીક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જોકે તેને પણ લાંબા સમયથી અપડેટ કરાઈ નથી. ચેસની રમત માટે બનાવેલા હોલની છત અને કાચ પણ તૂટી ગયા છે ચેસની રમત માટે હોલ બનાવાયો હતો. અહીં લોકો ઊભા રહીને તેમને કેડે આવે તેટલી મોટી ચેસની ગોટીઓ સાથે રમત રમી શકે તેવી વ્યવસ્થા હતી. આ હોલ અત્યારે ભંગાર હાલતમાં છે. હોલની બારીઓના કાચ તૂટી ગયા છે. ઉપરની છત તૂટી ગયેલી છે. એક ખૂણામાં તમામ ગોટીઓને ભેગી કરીને ઊભી કરી દેવાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:31 am

ફ્રિજ વિસ્ફોટ થયો:ગોરેગાવમાં ફ્રિજ વિસ્ફોટમાં એક જ કુટુંબના ત્રણનાં મોતઃ ઘરવખરી ખાક

ગોરેગાંવ વિસ્તારમાં ઘરમાં રેફ્રિજરેટર અચાનક ફાટવાથી લાગેલી આગમાં પિતા અને તેનાં પુત્ર- પુત્રીનાં મોત થયાં છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ વિસ્તારમાં શોક ફેલાઈ ગયો છે અને પાવસ્કર પરિવારમાં બનેલી દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. પાવસ્કર પરિવારના બધા સભ્યો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ઘરમાં રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે થોડી વારમાં આખા ઘરમાં આગ લાગી ગઈ. તેઓ જાગીને બહાર નીકળે તે પહેલાં જ ઘર આગની લપેટમાં આવી ગયું. વિસ્તારના રહેવાસીઓએ જોરદાર અવાજ અને ધુમાડાના ગોટેગોટા સાંભળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઘર પ્લાસ્ટિક શીટ0થી ઢંકાયેલું હોવાથી આગ વધુ ફેલાઈ હતી. પ્લાસ્ટિક શીટને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને થોડી વારમાં ઘર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું. આ ભયંકર આગમાં સંજોગ પાવસ્કર (પિતા) અને તેમની પુત્રી- પુત્ર હર્ષદા પાવસ્કર (19) અને કુશલ પાવસ્કર (12)નાં મોત થયાં. આગની તીવ્રતા એટલી હતી કે ત્રણેયને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. આગ લાગ્યા પછી બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે અંત સુધી લડત આપી હોવાનું જાણવા મળ્યું છે. 12 વર્ષનો કુશલ આગથી બચવા માટે ઘરના બાથરૂમમાં ગયો હતો અને છુપાઈ ગયો હતો. જોકે, પ્લાસ્ટિક શીટને કારણે આગ આખા ઘરને ઘેરી લેતી હતી અને ધુમાડો ખૂબ વધી ગયો હતો, જેના કારણે કુશલ અને ઘરના અન્ય સભ્યોનું ગૂંગળામણ અને દાઝી જવાથી મૃત્યુ થયું હતું.સદનસીબે, બાળકોની માતા આ ભયાનક ઘટનામાં બચી ગઈ. તે સમયે તે ઘરે ન હતી કારણ કે તે રાતપાળીમાં કામ પર ગઈ હતી. તેથી, ભલે તે આગમાં બચી ગઈ, પરંતુ એક જ રાત્રે તેના પતિ અને બે બાળકોના મૃત્યુથી તે ખૂબ જ દુ:ખી છે. ઘટનાની માહિતી મળતા જ, ચારથી પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયરમેનોએ ખૂબ જ હિંમત અને અથાક પ્રયાસો કરીને લગભગ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:09 am

ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો:ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર

મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્ડ ક્રમાંક 30માં ચૂંટણીનો રંગ ચડ્યો છે. આ વોર્ડમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને ભાજપ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. નવી મતદાર યાદી અનુસાર વોર્ડ 30માં આશરે 55,000 મતદારો નોંધાયેલા છે. અહીં ગુજરાતી, ઉત્તર ભારતીય, મરાઠી, સાઉથ ઈન્ડિયન, તમિલ તથા ખ્રિસ્તી સમુદાયના મતદારોનું નોંધપાત્ર પ્રભુત્વ છે. આ વિવિધ સામાજિક સમીકરણને કારણે શરૂઆતથી જ આ વોર્ડ પર તમામ પક્ષોની નજર રહી છે.ચૂંટણીની જાહેરાત બાદથી આ વોર્ડ ખાસ ચર્ચામાં રહ્યો છે. શરૂઆતમાં ભાજપ તરફથી બ્રહ્મસમાજના મિહિર આચાર્યનું નામ ફાઈનલ થયાનું મનાતું હતું અને તેમની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી. સૂત્રો મુજબ સ્થાનિક વિધાનસભ્યનો આચાર્યને પૂરતો ટેકો હતો. જોકે, ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અચાનક આચાર્યનું નામ કાપી નાખી અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી. આ નિર્ણયથી સ્થાનિક કાર્યકરો તેમજ મતદારોમાં ભારે નારાજગી ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે વ્યવસાયે ડોક્ટર અને સમાજસેવાની સ્વચ્છ છબિ ધરાવતા ડૉ. દિવાકર પાટીલનું પલડું ભારે બનતું દેખાઈ રહ્યું છે. વોર્ડમાં કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે. અહીં આમ આદમી પાર્ટીએ ગુજરાતીને અને ભાજપે જૈન સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે ડૉ. દિવાકર પાટીલ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ની આઘાડી તરફથી સંયુક્ત ઉમેદવાર છે. નોંધપાત્ર બાબત એ છે કે અહીં કોંગ્રેસનો પોતાનો ઉમેદવાર ન હોવાથી, કોંગ્રેસના કાર્યકરો અને મતદારો સ્વચ્છ અને પ્રમાણિક છબિ ધરાવતા ડૉ. દિવાકર પાટીલ તરફ ઝુકાવ બતાવી રહ્યા છે. ડૉ. દિવાકર દલપત પાટીલ (બીએચએમએસ, ઈએમએસ) વિશે લોક અભિપ્રાય એવો છે કે, તેઓ છેલ્લાં 15 વર્ષથી સમર્પિત તબીબી વ્યાવસાયિક તરીકે નિઃસ્વાર્થ સેવા માટે ઓળખાય છે. આ તમામ પરિસ્થિતિઓને જોતા ચારકોપ વોર્ડ નં. 30ની ચૂંટણી આ વખતે અત્યંત રસપ્રદ અને નિર્ણાયક બનશે તેવો રાજકીય વર્તુળોમાં અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:08 am

મુંબઈ પોલીસની મોટી કામગીરી:મુંબઈમાંથી ચોરાયેલા 1650થી વધુ મોબાઈલ ઉત્તર પ્રદેશમાંથી કબજે

મુંબઈમાંથી ચોરાયેલા અથવા ગેરવલ્લે થયેલા 1650 મોબાઈલ ફોન પોલીસે ઉત્તર પ્રદેશમાંથી હસ્તગત કર્યા છે. પોલીસની 13 ટીમોએ ઉત્તર પ્રદેશમાં જઈને આ મોટી કાર્યવાહી કરી છે. ચોરી/ ગેરવલ્લે થયેલા મોબાઈલ વિશે ફરિયાદ નોંધાયા પછી સીઈઆઈઆર પોર્ટલ પર તપાસ કરીને તે ઉત્તર પ્રદેશમાં હોવાનું જણાયું હતું. આ પછી સીઈઆઈઆર ટીમના અધિકારી અને અમલદારો મળી 13 ટીમ તૈયાર કરાઈ હતી. આ ટીમોએ ઉત્તર પ્રદેશના 19 જિલ્લાઓમાં જઈને ચોરી/ ગેરવલ્લે થયેલા મોબાઈલ ફોન હસ્તગત કરવામાં સફળતા મેળવી છે. આ વિશેષ ઝુંબેશમાં કુલ 1650 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય રૂ. 2 કરોડથી વધુ છે. આજ સુધી આ રીતે જ 33,514 મોબાઈલ ફોન હસ્તગત કરીને તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે મોબાઈલ ફોન ચોરાઈ જવા પર તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી જોઈએ. ચોરી/ ગેરવલ્લે થયેલા મોબાઈલ સીઈઆઈઆર પોર્ટલ પર બ્લોક કરવા માટે નોંધણી કરાવવાનું આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:07 am

નવો વિવાદ શરૂ થયો:બોમ્બે મહારાષ્ટ્રનું શહેર નથી, ભાજપના પ્રચારકના વિધાનથી રાજકીય વાદવિવાદ

આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં રાજકીય ગરમાવા વચ્ચે, ભાજપના નેતા કે. અન્નામલાઈના શનિવારે વિધાનથી નવો વિવાદ ઊભો થયો છે. મતદારોને આકર્ષવા માટે, ભાજપે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશનાં વિવિધ રાજ્યોના નેતાઓને મુંબઈમાં પ્રચાર માટે ઉતાર્યા છે. આના ભાગરૂપે તામિલનાડુના ભાજપના નેતા અન્નામલાઈ વોર્ડ નંબર 47 માં પ્રચાર કરવા આવ્યા હતા. જોકે, આ પ્રચાર દરમિયાન તેમણે કરેલા વિધાનથી રાજકીય જ નહીં, પણ ભાવનાત્મક અને સાંસ્કૃતિક સ્તરે પણ હલચલ મચી ગઈ છે. પ્રચાર દરમિયાન, અન્નામલાઈએ 'બોમ્બે મહારાષ્ટ્રનું શહેર નથી' એવું કહીને વિવાદ છંછેડ્યો છે. મુંબઈને 'બોમ્બે' તરીકે ઉલ્લેખતાં, તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ મહારાષ્ટ્રનું શહેર નથી પરંતુ એક આંતરરાષ્ટ્રીય શહેર છે. મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેમના નિવેદનની ટીકા થઈ રહી છે. મુંબઈ માત્ર એક મહાનગર નથી પરંતુ મહારાષ્ટ્રની ઓળખ, ઇતિહાસ અને સંઘર્ષનો અભિન્ન ભાગ છે તેવી લાગણી ફરી એક વાર તીવ્ર બની છે. આ સાથે, તેમણે 'ટ્રિપલ એન્જિન સરકાર'નો ખ્યાલ રજૂ કર્યો. તેમણે દાવો કર્યો કે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ મહાપાલિકામાં ભાજપનો મેયર હોય તો જ શહેરનો સાચો વિકાસ થઈ શકે છે. દેશના અન્ય મોટા શહેરોના ઉદાહરણો આપતા, તેમણે ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદમાં પાવર સ્ટ્રક્ચર સમજાવ્યું અને કહ્યું કે મુંબઈ એકમાત્ર એવું શહેર છે જ્યાં ટ્રિપલ એન્જિન સરકાર શક્ય છે. આખરે, પેટની વાત હોઠ સુધી પહોંચી: શિવસેનાએ અન્નામલાઈના વિધાન પર આકરી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના રાજ્ય સંગઠક અખિલ ચિત્રેએ ભાજપ પર સીધો હુમલો કર્યો અને જોરદાર વિરોધ વ્યક્ત કર્યો. પેટની વાત આખરે હોઠ પર આવી ગઈ છે એમ કહીને, તેમણે ભાજપ પર મરાઠી લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. તેમણે ચેતવણી પણ આપી કે ચૂંટણી માટે બહારના નેતાઓને ઇરાદાપૂર્વક લાવીને અને મુંબઈ વિશે આવાં નિવેદનો આપીને મરાઠી ઓળખને નબળી પાડવી જોઈએ નહીં. મુંબઈને 'બોમ્બે' કહેવું અને બલિદાન દ્વારા પ્રાપ્ત કરેલી મુંબઈ માટે મરાઠી લોકોને નીચું દર્શાવવું સહન કરવામાં આવશે નહીં. નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયુંશિવસેનાએ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ભાજપ પર મુંબઈના અસ્તિત્વ અને મરાઠી ઓળખને પડકારવાનો આરોપ લગાવ્યો છે. આ નિવેદન ચૂંટણી પ્રચારમાં ભાવનાત્મક મુદ્દાઓ વધુ આક્રમક બનવાના સંકેતો દર્શાવે છે. દરમિયાન, અન્નામલાઈના નિવેદનથી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરીને મુંબઈ અને મહારાષ્ટ્રની ઓળખ અંગે કરવામાં આવેલા નિવેદનો ભાજપને કેટલો રાજકીય ફાયદો કે નુકસાન પહોંચાડશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. જોકે, હાલપૂરતું, આ નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે, અને એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે મુંબઈના નામ અને ઓળખ અંગે શરૂ થયેલો આ વિવાદ ચૂંટણી પ્રચારનું કેન્દ્ર બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:06 am

સિટી એન્કર:મુંબઈમાં પહેલી વાર સ્ટેશનની અંદરથી જ મેટ્રો બદલવી શક્ય

મુંબઈમાં મેટ્રોનું જાળુ ઝડપથી મોટુ થઈ રહ્યું છે અને પ્રવાસીઓ માટે પ્રવાસ વધુ સહેલો થઈ રહ્યો છે. અત્યાર સુધી એક મેટ્રો લાઈનથી બીજી લાઈનમાં જવા માટે પ્રવાસીઓએ સ્ટેશનથી બહાર નીકળીને થોડા અંતર સુધી ચાલવું પડતું હતું. જો કે આ હવે આ ત્રાસ ભૂતકાળ બની ગયો છે. મુંબઈમાં પ્રથમ વખત પેડ એરિયા ઈંટરચેન્જ શરૂ કરવામાં આવ્યો છે. એક મેટ્રો સ્ટેશનમાંથી પ્રવાસીઓને સીધા જ મેટ્રો લાઈન બદલવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. દહિસર પૂર્વ ખાતે શરૂ થયેલ આ ઈંટરચેન્જ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે વિકસિત કર્યો છે. ઓક્ટોબર 2024માં આ સુવિધાનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી સુરક્ષા ચકાસણીઓ પૂરી થયા પછી હવે ફેઝ 1 પૂર્ણ ક્ષમતાથી કાર્યાન્વિત થયો છે. આ સુવિધાના લીધે પ્રવાસીઓ માટે મેટ્રો સ્ટેશનની અંદરથી જ એક લાઈનથી બીજી લાઈનમાં જવું શક્ય થયું છે. એના લીધે પ્રવેશ અને બહાર નીકળવાના ઠેકાણે ગિરદી ઓછી થવામાં મદદ થશે. દહિસર પૂર્વ મેટ્રો સ્ટેશનની ઉત્તર તરફના છેડે ઊભા કરવામાં આવેલા આ ઈંટરચેન્જના લીધે મેટ્રો લાઈન 7, મેટ્રો લાઈન 2એ અને મેટ્રો લાઈન 9ના ફેઝ 1 એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. એના લીધે દહિસરથી અંધેરી તેમ જ મિરા-ભાઈંદરથી મુંબઈ શહેરના મધ્યવર્તી ભાગ સુધીનો પ્રવાસ વધુ સહેલો થયો છે. ખાસ વાત એટલે હવે મેટ્રો લાઈન 1થી મેટ્રો લાઈન 7 દરમિયાન પણ આ કનેક્ટિવિટી મળશે. દરમિયાન દહિસર પૂર્વ ઈંટરચેન્જ માટે જરૂરી સીએમઆરએસ સુરક્ષા ચકાસણી પૂરી કરવામાં આવી છે. ચૂંટણીની આચારસંહિતાના લીધે અધિકૃત ઉદઘાટનમાં વિલંબ થયો છે છતાં 15 જાન્યુઆરી પછી આ સુવિધા સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લી કરવામાં આવશે. 50 મિનિટથી ઓછા સમયનો પ્રવાસઆ નવા ઈંટરચેન્જના લીધે મિરા રોડથી અંધેરીનો પ્રવાસ જેના માટે પહેલાં દોઢ કલાક લાગતો હતો એને હવે 50 મિનિટથી ઓછો સમય લાગશે. એના લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તેમ જ દહિસર ટોલનાકા પર ટ્રાફિકજામ ઓછો થવામાં મદદ થશે. મોટા પ્રમાણમાં પ્રવાસીઓ રસ્તાના બદલે મેટ્રોનો ઉપયોગ કરશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાશીગાવથી સીધા અંધેરીમેટ્રો લાઈન 9નો ફેઝ 1 4.5 કિલોમીટર લાંબો છે. એમાં દહિસર પૂર્વ, પાંડુરંગ વાડી, મિરાગાવ અને કાશીગાવ એમ ચાર સ્ટેશનનો સમાવેશ છે. આ સેવાની શરૂઆતના લીધે મિરા-ભાઈંદરના પ્રવાસી કાશીગાવથી મેટ્રોમાં ચઢીને કોઈ પણ મેટ્રો બદલવાની જરૂરત વિના અંધેરી પૂર્વ સુધી પ્રવાસ કરી શકશે. તેથી ઉપનગરોની કનેક્ટિવિટી મોટા પ્રમાણમાં સુધરે એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:05 am

કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા પછી કરાઈ કાર્યવાહી:બારમાં મહિલા ડાન્સરો પર નોટો ઉડાવતો પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

નવી મુંબઈમાં બારમાં મહિલા ડાન્સરો પર નોટો ઉડાવતા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ પૈસા ફેંકતો હોય તેવો વિડિયો વાઈરલ થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કોન્સ્ટેબલને અનિલ સુખદેવ મંડોલે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે ઈમ્મોરલ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન સેલ (આઈએચટીપીસી)માં કાર્યરત હતો. વિડિયોમાં નવી મુંબઈના કોપરખૈરાણે ખાતે નટરાજ લેડીઝ બારમાં શરાબ પીવા દરમિયાન કોન્સ્ટેબલ મહિલા ડાન્સરો પર નોટો ઉડાવતો જોવા મળે છે. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થતા આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેની ગંભીર નોંધ લઈને ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન ગુંજાલે 9 જાન્યુઆરીના રોજ આદેશ જારી કરીને તાત્કાલિક અમલમાં આવે તે રીતે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. તેનું આચરણ શિસ્તબદ્ધ પોલીસ બળ પર લાંછન લગાવે છે અને આ ગંભીર ગેરવર્તન છે. ખાસ કરીને માનવ તસ્કરી પ્રવૃત્તિઓ રોકવાની જવાબદારી ધરાવતી શાખામાં તે કામ કરતો હોવાથી આ મામલો વધુ ગંભીર બની જાય છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું. આ સાથે કોસ્ટેબલ વિરુદ્ધ ખાતાકીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:03 am

13 થી 15 જાન્યુઆરી દરમિયાન પ્રવાસી સેવા ખોરવાય એવી શક્યતા:બેસ્ટ પ્રશાસનની શહેર અને ઉપનગરોમાં દોડતી 1100 બસ ચૂંટણીના કામમાં રોકાઈ

મહાપાલિકા ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ તરફથી પણ જોરદાર તૈયારી કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા પાર પાડવા ચૂંટણી પંચે સાર્વજનિક વાહનો તાબામાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. એમાં બેસ્ટની બસ, રિક્ષા, ટેક્સીનો સમાવેશ છે. શહેર અને ઉપનગરોમાં દોડતી બેસ્ટની 1100થી વધુ બસ ચૂંટણીના કામે લગાડવામાં આવશે. તેથી 13 થી 15 જાન્યુઆરી દરમિયાન મુંબઈની પ્રવાસીસેવા પર ગંભીર અસર થાય એવી શક્યતા છે. મહાપાલિકા ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસ બાકી છે. તેથી ચૂંટણી પંચની કાર્યવાહી ઝડપી થઈ છે. પંચે મોટા પ્રમાણમાં સાર્વજનિક વાહન તાબામાં લેવાની શરૂઆત કરી છે. શહેર અને ઉપનગરોમાં ઠેકઠેકાણે મતદાન કેન્દ્ર કાર્યાન્વિત કરવામાં આવશે. આ કેન્દ્રો પર ઈવીએમ તેમ જ મતદાન પ્રક્રિયા સાથે સંબંધિત અન્ય સામગ્રી પહોંચાડવા સાર્વજનિક વાહનોની મદદ લેવામાં આવશે. ચૂંટણી અધિકારીની માગણી અનુસાર જે તે પ્રભાગમાં પ્રાદેશિક પરિવહન વિભાગ તરફથી સાર્વજનિક વાહન ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એ અનુસાર 13 જાન્યુઆરીના રાતથી 15 જાન્યુઆરીની રાત સુધી 1100થી વધુ બેસ્ટ બસ ચૂંટણીના કામ માટે દોડશે. આરટીઓ મારફત શુક્રવારથી રિક્ષા, ટેક્સી જેવા વાહન ચૂંટણીના કામ માટે આપવામાં આવશે. શહેર અંતર્ગત રસ્તા પર નાના વાહનની જરૂર પડે છે. ત્યાં રિક્ષા ટેક્સી જેવા વાહન ઉપલબ્ધ કરી આપીયે છીએ. ચૂંટણી પંચની જરૂરિયાત અનુસાર અમારે આ પ્રક્રિયા પાર પાડવી પાડવી ફરજિયાત છે એમ આરટીઓના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી પંચ અને સંબંધિત પ્રશાસને સામાન્ય નાગરિકોની જરૂરનો વિચાર કરીને વાહન તાબામાં લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો, વૈકલ્પિક વ્યવસ્થા અથવા તબક્કાવાર વાહનોનો ઉપયોગ કરવો. 2 હજાર રિક્ષા-ટેક્સી ઈલેક્શન ડ્યુટી પરબેસ્ટ બસ સાથે લગભગ 1500 ઓટોરિક્ષા અને એક હજારથી વધુ ટેક્સી ચૂંટણીના કામકાજ માટે તાબામાં લેવામાં આવશે. નોકરિયાતોને ઘરથી રેલવે સ્ટેશન જવા રિક્ષા, ટેક્સીની મદદ થાય છે. તેથી બે હજાર કરતા વધારે રિક્ષા-ટેક્સી ચૂંટણીની ડ્યુટી પર જતા મુંબઈગરાની ઘણી હેરાનગતિ થાય એવા ચિહ્ન છે. ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી વાહનોના અભાવે કાર્યાલયના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકોની હેરાનગતિ થવાની હોવાથી લોકોમાં ભારે નારાજગી છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:02 am

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો:વોર્ડ 82માં અપક્ષની ‘ગર્જના’ ‘જેહાદ મુક્ત વોર્ડ’થી દિગ્ગજોની ઊંઘ હરામ

મુંબઈ મહાપાલિકાનો ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિલે પાર્લે વિધાનસભા હેઠળ આવતા વોર્ડ ક્રમાંક 82માં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે પલટાઈ રહ્યા હોય તેમ જણાય છે. અહીં અપક્ષ ઉમેદવાર રૂબી દીપક જાયસવાલે ‘હિન્દુત્વ’ અને ‘જેહાદ મુક્ત વોર્ડ’નો એવો દાવ ખેલ્યો છે કે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ખેમામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વોર્ડ 82 પરંપરાગત રીતે ઉત્તર ભારતીય, ગુજરાતી અને મારવાડી સમાજનો ગઢ માનવામાં આવે છે, જે અત્યાર સુધી ભાજપની ‘કોર વોટબેંક’ રહી છે. જોકે, રૂબી જાયસવાલે ડોર-ટુ-ડોર કેમ્પેઈન દ્વારા આ વોટબેંકમાં સીધું ગાબડું પાડ્યું છે. એક શિક્ષિત અને યુવા ચહેરાની સાથે પ્રખર હિન્દુત્વ અને પુનઃવિકાસ ના મુદ્દાઓ પર તેમની મજબૂત પકડને કારણે જનતામાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. વ્યૂહાત્મક મુદ્દાઓ અને જનતાનો ઝુકાવઃરૂબી જાયસવાલે માત્ર પાયાની સુવિધાઓ જ નહીં, પરંતુ સુરક્ષા અને સામાજિક સંતુલનને મુખ્ય એજન્ડા બનાવ્યો છે. જેહાદ મુક્ત વોર્ડ: વોર્ડને સુરક્ષિત બનાવવાના નારાએ ચૂંટણી માહોલને આક્રમક બનાવ્યો છે. સ્થાનિકોમાં રોષ: મતદારોનું માનવું છે કે મુખ્ય પ્રવાહના પક્ષો વોટબેંકની રાજનીતિમાં જે મુદ્દાઓને નજરઅંદાજ કરે છે, રૂબી જાયસવાલ તેને વાચા આપી રહ્યા છે. સત્તાવાર પડકાર: અપક્ષ ઉમેદવારના આક્રમક પ્રચારને કારણે પ્રસ્થાપિત પક્ષોના ગણિત બગડ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Jan 2026 5:00 am