SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીએ સર્જાશે પાણીકાપ:પાલિકા દ્વારા વાલ્વ બદલવાની કામગીરીને પગલે વેસુ, મગદલ્લા, ડુમસ અને ભીમરાડ જેવા વિસ્તારોમાં રહેશે પાણીકાપ

સુરત મહાનગરપાલિકા દ્વારા 19 ફેબ્રુઆરી, 2026ના રોજ અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવાની જાહેરાત કરી છે. પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરથાણા જળ વિતરણ મથકથી ખતોદરા થઈ અલથાણ, વેસુ અને ડુમસ જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરતી 1016 મી.મી. વ્યાસની એમ.એસ. રાઈઝિંગ લાઈનમાં અલથાણ ખાતે નવો વાલ્વ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ રિપેરિંગની કામગીરી ગુરુવારે સવારે 09:00 વાગ્યાથી શરૂ થશે અને મોડી રાત સુધી ચાલવાની શક્યતા છે, જેને કારણે સંબંધિત જળ વિતરણ મથકોની ટાંકીઓ ભરી શકાશે નહીં અને હજારો નાગરિકોને પાણી વગર રહેવું પડશે. કેટલા સમય માટે રહેશે પાણીકાપ?આપાણી કાપની સૌથી વધુ અસર વેસુ, મગદલ્લા, ડુમસ અને ભીમરાડ જેવા વિસ્તારોમાં જોવા મળશે. વેસુ-1 જળ વિતરણ મથક હેઠળ આવતા જી.ડી. ગોએન્કા કેનાલ રોડ, રત્નરાજ, હેગડેવાર, રોયલ પેરાડાઈઝ, સૂર્યા હેરીટેજ અને ઈકો ગાર્ડન જેવા વિસ્તારોમાં સવારનો સપ્લાય ખોરવાશે. જ્યારે બપોરના સમયે સુમન શૈલ, વેસુ ગામતળ, સોમેશ્વર ચોકડી, સુદાભવન, કૃષ્ણધામ, દેવદર્શન અને સિદ્ધિ રો હાઉસ જેવી સોસાયટીઓમાં પાણી પુરવઠો મળશે નહીં. વેસુ-2 જળ વિતરણ મથક ના વિસ્તારોમાં પણ સવાર-સાંજનો કાપ રહેશે, જેમાં સુમન સાગર, LT બેચલર હોસ્ટેલ, નંદિની-3, વાસ્તુગ્રામ ચોકડી, શ્યામ પેલેસ, શૃંગાર રેસીડેન્સી, નંદનવન-3 અને ઓ.એન.જી.સી. ફેઝ-2 જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મનપાની ટાંકીઓ દ્વારા અપાતું નિયમિત પાણી 19 તારીખે બંધ રહેશે. ડુમસ, અલથાણ અને ભીમરાડમા પણ પાણીકાપદરિયાકાંઠાનાવિસ્તારોમાં પણ પાણીનો મોટો કાપ જોવા મળશે. ડુમસ જળ વિતરણ મથક હેઠળ આવતા ગવીયર, ડુમસ, કાંદી ફળીયા, સુલતાનાબાદ અને ભીમપોર ગામતળ ઉપરાંત અવધ યુટોપિયા, એરપોર્ટ રોડ, અવધ કોપરસ્ટોન અને મેરીઓન રેસીડેન્સી જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારોમાં સવારનો પુરવઠો ઠપ્પ રહેશે. તેવી જ રીતે, અલથાણ અને ભીમરાડ મથકો હેઠળ આવતી ટી.પી. સ્કીમો જેવી કે ટી.પી. 43, 42, 36 અને 37 ના વિસ્તારો, ડ્રીમ સિટી (ખજોદ), ભીમરાડ ગામ અને સરસાણા ગામમાં બપોરના સમયે પાણી આવશે નહીં. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારોમાં સીધા બુસ્ટિંગ કે ઓવરહેડ ટાંકીઓ દ્વારા પણ સપ્લાય આપી શકાય તેમ નથી. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે, આ જાહેરાતની ગંભીરતાથી નોંધ લઈ, જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી લેવો. રિપેરિંગની કામગીરી લાંબી ચાલી શકે તેમ હોવાથી પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી બગાડ ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરીજનોને વહીવટી તંત્ર સાથે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી મેન્ટેનન્સની કામગીરી સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે અને બીજા દિવસથી પાણી પુરવઠો પૂર્વવત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 11:02 pm

શેત્રુંજી નદીમાં ડ્રોનથી તપાસ કરી ખનીજ ચોરી ઝડપાઈ:જે.સી.બી, મશીન, લોડર તથા ટ્રેક્ટર સહિતના 20 લાખનો મુદ્દામાલ ઝડપી લીધા

દાત્રડ ગામ પાસે આવેલ શેત્રુંજી નદીપટ્ટમાંથી ગેરકાયદેસર ખનન પર ત્રાટકી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ ​ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજરોજ તળાજા તાલુકા ના દાત્રડ ગામ પાસે આવેલ શેત્રુંજી નદીપટ્ટમાં ડ્રોનથી તપાસ હાથ ધરતા નદીના પટ્ટ માં રેતી ખનીજનું ખોદકામ કરતા એક જેસીબી મશીન, એક લોડર તથા એક ટ્રેક્ટર સહિત રૂપિયા 20 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આ અંગે તળાજા પોલીસ મથકે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરાના જણાવ્યું હતું કે, ​તળાજા તાલુકાના ​દાત્રડ ગામના નદીપટ્ટ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાળોંધરાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા નદીપટ્ટમાં નિરીક્ષણ કરવામાં આવતા ખનીજ ચોરીની ગતિવિધિઓ કેમેરામાં કેદ થઈ હતી,​તપાસ દરમિયાન નદીના પટ્ટમાંથી બિનઅધિકૃત રીતે રેતીનું ખોદકામ અને વહન કરતા સાધનોઓમાં ​1 જે.સી.બી. (JCB) મશીન, 1 લોડર ના માલિક સંજય ડાંગર તથા 1 ટ્રેક્ટર ના માલિક કિશોર ઘુઘાભાઈ આલ સહિતના સાધનો ઝડપી લીધા હતા, ​તપાસ ટીમે કુલ અંદાજે રૂ.20 લાખનો મુદ્દામાલ સીઝ કરી તમામ વાહનોને તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:28 pm

GIDCમાં મોટો બદલી આદેશ:ક્લાસ-2 અને 3ના 28 અધિકારી-કર્મચારીઓના તાત્કાલિક ટ્રાન્સફર, પ્રાદેશિક કચેરીઓમાં નવી નિમણૂકો

ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા વહીવટી હિતમાં મોટાપાયે બદલી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ વર્ગ-2 અને વર્ગ-3ના કુલ 28 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ આદેશ GIDC મુખ્ય કચેરી, ઉદ્યોગ ભવન, ગાંધીનગરથી જાહેર થયો છે. મળતી માહિતી અનુસાર સહાયક મેનેજર અને જુનિયર ઓફિસર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને પ્રાદેશિક મેનેજર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે તો કેટલાકને ઇનચાર્જ તરીકે વધારાનો હવાલો અપાયો છે. ભુજ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, અંકલેશ્વર, મહેસાણા, જામનગર સહિતની કચેરીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ મનીષ એમ. ચૌધરીને સુરેન્દ્રનગર, કુલદીપસિંહ સોલંકીને ભુજ, અંજલી ગાજિયરને ગાંધીનગર, હિતેશકુમાર પટેલને રાજકોટ અને કેતુલકુમાર પટેલને જુનાગઢ ખાતે નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત અનેક જુનિયર ઓફિસરોને અમદાવાદ, વાપી, સુરત અને ગાંધીનગર હેડ ઓફિસમાં નવી ફરજ સોંપાઈ છે. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સહી કરાયેલા આ આદેશની નકલ સંબંધિત તમામ કચેરીઓને ઇ-મેઇલ મારફતે મોકલી આપવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને પ્રાદેશિક કચેરીઓમાં સુવ્યવસ્થિત કામગીરી માટે આ બદલીઓ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:22 pm

દાહોદમાં બાળકીની છેડતીનો આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયા ઝડપાયો:પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી

દાહોદ શહેરમાં એક માસૂમ બાળકી સાથે શારીરિક છેડતીની ઘટના સામે આવી છે. આ મામલે દાહોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કસ્બા વિસ્તારમાં રહેતા સિદ્દીક ઉર્ફે કાલિયા નામના શખ્સે એક માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી તેની છેડતી કરી હતી. આ ઘટના બાદ ડઘાઈ ગયેલી બાળકીએ હિંમત કરીને પોતાના પરિવારજનોને સમગ્ર આપવીતી જણાવી હતી. દીકરી સાથે થયેલા આ કૃત્યની જાણ થતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તેમણે તાત્કાલિક ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે દાહોદ પોલીસે મામલાની ગંભીરતા સમજી તુરંત ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા પોલીસ તંત્રએ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાનું લોકેશન ટ્રેસ કરી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રજામાં પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:06 pm

સુરતીઓ તૈયાર રહેજો!:22 ફેબ્રુઆરીથી યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર જામશે સાહિત્ય અને કળાનો મહાકુંભ, મુખ્યમંત્રી કરાવશે લોકાર્પણ

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને અન્ય મહોત્સવોની આતુરતાનો હવે અંત આવ્યો છે. જોકે, પુસ્તક પ્રેમીઓએ થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે અગાઉ 20 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ મેળો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને પગલે 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે આ ભવ્ય મહોત્સવને ખુલ્લો મૂકવાનું આયોજન કરાયું છે. તારીખમાં કેમ કરાયો ફેરફાર?અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા આ આયોજન 20 થી 24 ફેબ્રુઆરી સુધી નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 ફેબ્રુઆરીએ સુરત પ્રવાસે આવવાના હોવાથી મનપા શાસકોએ તેમના હસ્તે જ આ ભવ્ય પુસ્તક મેળાનું લોકાર્પણ કરાવવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારને કારણે હવે સુરતીઓ પાંચ દિવસ સુધી સાહિત્ય અને સંસ્કૃતિનો લ્હાવો માણી શકશે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર પહેલીવાર 'ચતુર્વિધ' સંગમવર્ષોથી સુરતનો પુસ્તક મેળો વનિતા વિશ્રામના મેદાન પર યોજાતો હતો, પરંતુ આ વર્ષે પ્રથમવાર સ્થળ બદલીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના વિશાળ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે. અહીં માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ એકસાથે ચાર મોટા મહોત્સવોનો જમાવડો જોવા મળશે. પાંચ વર્ષના લાંબા વિરામ બાદ પુનરાગમનકોરોનાકાળને કારણે છેલ્લા પાંચ વર્ષથી સુરતના આ લોકપ્રિય પુસ્તક મેળાનું આયોજન થઈ શક્યું ન હતું. આ વખતે મનપા દ્વારા અંદાજે ₹ 1.50 કરોડના ખર્ચે અત્યંત ભવ્ય રીતે આ મેળાનું પુનઃ આયોજન કરાયું છે. લાંબા સમય બાદ યોજાઈ રહેલા આ મેળાને લઈને સાહિત્ય પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડુમસ સી-ફેસ પ્રોજેક્ટનું પણ થઈ શકે છે લોકાર્પણમુખ્યમંત્રીના સુરત પ્રવાસને યાદગાર બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા ડુમસ સી-ફેસ પ્રોજેક્ટના લોકાર્પણની તૈયારીઓ પણ હાથ ધરાઈ છે. ખાસ કરીને ઝોન-1 (અર્બન ઝોન) નું કામ હવે પૂર્ણતાના આરે છે. જો બધું આયોજન મુજબ ચાલ્યું તો 22 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સુરતીઓને આ પર્યટન સ્થળની ભેટ પણ આપી શકે છે. સમયગાળો લંબાવવાની વિચારણાસુરતીઓનો પુસ્તકો અને ખાણીપીણી પ્રત્યેનો ઉત્સાહ જગજાહેર છે. પાંચ દિવસના આ આયોજનમાં જો ભારે ભીડ જોવા મળશે અને લોકોનો પ્રતિસાદ વધુ હશે, તો મનપા પ્રશાસન આ મેળાનો સમયગાળો 5 દિવસથી લંબાવીને વધુ પણ કરી શકે એવી વિચારણા ચાલી રહી છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવીસી.એમ.ના આગમન અને ચાર મોટા મહોત્સવો એકસાથે હોવાથી મનપા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ડોમ, સ્ટોલ્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાહન પાર્કિંગ અને લોકોની અવરજવર માટે ખાસ પ્લાન તૈયાર કરાયો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 10:04 pm

વઢવાણમાં પીવાના પાણી માટે સ્થાનિકોનો હોબાળો:તંત્ર સામે આક્રોશ, મહિલાઓએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો

વઢવાણ શહેરના સાંકડી શેરી અને લોખંડનો દરવાજો જેવા વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર અછતને કારણે સ્થાનિક રહીશોએ, ખાસ કરીને મહિલાઓએ, રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારોમાં પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે, વઢવાણના આ વિસ્તારોમાં પાણીના વારાના દિવસે પણ માત્ર બે થી ત્રણ ડોલ જેટલું જ પાણી મળતા સ્થાનિકોની મુશ્કેલી વધી હતી. સ્થાનિક મહિલાઓએ શહેરી વિસ્તારમાં પૂરતું પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. તેમણે તંત્રના અધિકારીઓનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા, મહિલાઓએ રસ્તા પર આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:59 pm

ઘરફોડ ચોરીનો ફરાર આરોપી ઝડપાયો:જોરાવરનગર પોલીસ અમદાવાદથી રંગીત મીનામાની ધરપકડ કરી

સુરેન્દ્રનગર પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી રંગીતભાઈ બાદરભાઈ મીનામાને અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 454 અને 457 હેઠળ ગુનો નોંધાયેલો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.આ ઝુંબેશ અંતર્ગત, એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્સ. જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના I/C પો.સબ.ઈન્સ. એન.એ.રાયમાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તા. 16 ફેબ્રુઆરી, 2026ના રોજ, પેરોલ ફર્લો સ્કવોડની ટીમના પો.કોન્સ. શક્તિસિંહ જોરુભાને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ દ્વારા સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, જોરાવરનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 107/2024ના ગુનામાં ફરાર રંગીતભાઈ બાદરભાઈ મીનામા (ઉં.વ. 21, રહે. બીલીયા ગામ, તા. ધાનપુર, જિ. દાહોદ) ને અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો જોરાવરનગર પોલીસ મથકને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:47 pm

ભાવનગર જિલ્લા જેલ ખાતે ‘સંગીત સંધ્યા’નો સૂરમય કાર્યક્રમ:બંદીવાન એ સમાજનો જ એક હિસ્સો છે, તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવા એ અમારી પ્રાથમિકતા છે: જેલ પ્રશાસન

બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવાના હેતુથી આજરોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે એક ‘સંગીત સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સ્થાનિક કલાકાર જીતુ જેકસનના સથવારે યોજાયેલા આ કાર્યક્રમમાં જેલના બંદીવાનોએ સંગીતના તાલે માનસિક શાંતિનો અનુભવ કર્યો હતો. ​સામાન્ય રીતે ગુના સબબ જેલમાં આવતા વ્યક્તિઓ પરિવાર અને સમાજથી વિખૂટા પડવાને કારણે માનસિક તણાવ અને હતાશા અનુભવતા હોય છે, પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન. રાવ (IPS) અને પોલીસ મહાનિરીક્ષક અશ્વીન ચૌહાણ (IPS) ના માર્ગદર્શન હેઠળ, બંદીવાનો પોતાની યાતના ભૂલીને સમાજમાં ફરી સુવ્યવસ્થિત રીતે ભળી શકે તેવા ઉમદા આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. ​આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાયદાકીય અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી બંદીવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ​ડી.બી. તીવારી સેક્રેટરી જજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ​નિતેષ પાંડેય પોલીસ અધિક્ષક, ​સિંધાલ અને ઠાકર નાયબ પોલીસ અધિક્ષક, ​ભલગારીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ​ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક ડી.ડી. પ્રજાપતી તથા જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ જેલની શિસ્ત અને સલામતી જળવાય તે રીતે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે અધિક્ષક દ્વારા કલાકારો અને સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, સંગીત સંધ્યાના કારણે જેલના બંદીવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:46 pm

ભાવનગરમાં વેપારી પર કિન્નરોનો હુમલો, રૂપિયા 150ની લૂંટ:શેલારશા ચોક ખાતે 100 રૂપિયાની માંગણી મુદ્દે કિન્નરોની મારપીટ સાથે તોડફોડ, પોલીસે ચારેયને ઝડપી પાડ્યા

ભાવનગર શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા એક વેપારી પાસે ચાર કિન્નરોએ 100 રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા 20 આપતા તેઓએ લેવાનો ઇનકાર કરી વેપારી પર હુમલો કર્યો હતો. પાઈપ અને ઢીંકાપાટુ વડે મારમારી વેપારીના શર્ટના ખિસ્સામાંથી રૂપિયા 150 લૂંટી લીધા હતા. તેમજ ભંગારની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય કિન્નરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ચાર કિન્નરો સામે પોલીસ ફરિયાદઆ બનાવ અંગે ગંગાજળિયા પોલિસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાલક્ષ્મી મીલની ચાલીમાં રહેતા અને શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા રમેશભાઈ જીવાભાઈ સોલંકી (ઉ.વ.53) એ ગંગાજળીયા પોલીસ મથકમાં નિલમ, અનીતા, મુસ્કાન અને દક્ષા નામના કિન્નર સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગઈકાલે તા. 15 ફેબ્રુઆરીના રોજ સવારે તેઓ તેની દુકાને વેપાર ધંધો કરતા હતા, ત્યારે સવારે 11.30 વાગે ચાર કિન્નર તેની પાસે આવ્યા હતા. 20 રૂપિયા લેવાની ના પાડી વેપારીને મારમાર્યોતું દર વખતે રૂા.20 કાઢીને ઉભો રહે છે. પણ આજે તો તારે 100 રૂપિયા આપવા પડશે, પરંતુ વેપારીએ આજે મારે હજુ કઈ વેપાર થયો નથી. મારી પાસે રૂા.100 નથી તેમ કહી 20 રૂપિયા આપ્યા હતા. જેથી કિન્નરોએ 20 રૂપિયા લેવાની ના પાડી વેપારીને અપમાનીત કરી તેના પર પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી મારમાર્યો હતો, તેમજ વેપારીના શર્ટના ખીસ્સામાંથી રૂા.150 કાઢી લઈ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં ચારેય કિન્નરોએ તેની પાસેના ભંગારની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. અન્ય વેપારીઓ ભેગા થતા કિન્નરો નાસી છૂટ્યા જે બાદ કિન્નરોએ કહ્યું કે, તારે પૈસા ન આપવા હોઈ તો બીજી વખત અહીંયા ધંધો કરતો નહિ અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જે દરમિયાન અન્ય વેપારીઓ ભેગા થઈ જતા કિન્નરો નાસી છૂટ્યા હતા, અને આજુબાજુના વેપારીઓ દ્વારા ઈજાગ્રસ્ત વેપારીને સરકારી દવાખાને સારવાર માટે ખસેડયો હતો. ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે ચારેય કિન્નરો સામે BNS 309(6), 115(2), 352, 324(2), 54 જીપી એક્ટ 135 તેમજ અનુસૂચિત જાતિ અને અનુ જનજાતી પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં પોલીસે નીલમકુંવર સંગીતા કુવર (ઉ.વ 42), અનિતાકુવર સંગીતાકુવર (ઉ.વ.35), મુસ્કાનકુવર નિલમકુવર (ઉ.વ. 45) અને દક્ષાકુવર રિધ્ધી કુવર (ઉ.વ.35) સહિત તમામ કિન્નરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:41 pm

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક:ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાનો શિકાર કર્યો, પીઠવાજાળની સીમમાં ખેતરમાં રમતી બાળકીની દીપડાએ બોચી પકડી

અમરેલી જિલ્લાના ધારી અને લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓએ આતંક મચાવતા બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે, જ્યારે લીલીયાના પીઠવાજાળ ગામે દીપડાએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી છે. મહિલાનો શિકાર કરનાર સિંહણને વનવિભાગે મહામહેનતે પાંજરે પૂરી હતી. કપડાં ધોતી મહિલા પર સિંહણનો જીવલેણ હુમલોધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની દલખાણીયા રેન્જમાં આવેલા ગોવિંદપુર ગામમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામ નજીક આવેલી નદીના પટમાં 45 વર્ષીય મંજુબેન સોલંકી કપડાં ધોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહણ ત્યાં ધસી આવી હતી. સિંહણે મહિલા પર હુમલો કરી તેને શિકાર બનાવવા માટે દૂર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં રહેલા એક શખસે સિંહણને ભગાડીઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા મનુભાઈ વાઘેલા નામના શખ્સે જોયું કે સિંહણ મહિલાને પછાડીને પકડી રહી છે. તેમણે તુરંત પાવડાના હાથા જમીન પર પછાડી અને બૂમાબૂમ કરી સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય ગ્રામજનો પણ દોડી આવતા સિંહણ મહિલાને છોડીને ભાગી ગઈ હતી. જોકે, ગંભીર ઈજાઓ થવાને કારણે મંજુબેનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વન વિભાગનું ઓપરેશન: 4 કલાકમાં સિંહણ પાંજરે પુરાઈઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. RFO, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સની ટીમોએ વિસ્તારમાં કોર્ડન કરી અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગે માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં હુમલાખોર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. હાલ સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાશે. વાડીમાં રમતી બાળકી પર દીપડાનો હુમલોબીજી ઘટનામાં લીલીયા તાલુકાના પીઠવાજાળ ગામની સીમમાં દીપડાએ આતંક મચાવ્યો છે. અહીં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રમી રહેલી 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા વાલીઓ અને શ્રમિકો દોડી આવ્યા હતા, જેથી દીપડો નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીઠવાજાળના સરપંચના જણાવ્યા મુજબ, વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો ભય સતત વધી રહ્યો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:41 pm

સુરત એરપોર્ટ સિક્યોરિટીને પડકારનાર ડ્રગ્સ માફિયા ઝડપાયો:6 કરોડના હાઈડ્રો વીડ કેસમાં થાગા ગની ડ્રગ્સ સિન્ડિકેટનો 'લોજિસ્ટિક માસ્ટરમાઇન્ડ', ચેન્નાઈથી ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6.18 કરોડના ‘હાઇડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજા) કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસે આ આખા રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક સંભાળતા થાગા ગની ઉર્ફે શાહજહાંને તમિલનાડુના ચેન્નઈ ખાતેથી દબોચી લીધો છે. કોણ છે ડ્રગ્સ ડીલર થાગા ગની ઉર્ફે શાહજહાં?આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં જેનું નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું તેવો 50 વર્ષીય થાગા ગની ઉર્ફે શાહજહાં ચેન્નઈના સેવનવેલ્સ વિસ્તારનો રહેવાસી છે. શાહજહાં માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે બેંગકોક અને ભારત વચ્ચે ચાલતા ડ્રગ્સ સપ્લાય ચેઈનનો મહત્વનો કડીરૂપ માણસ છે. તેની પ્રોફાઈલ તપાસતા જાણવા મળ્યું છે કે, તે અગાઉ વર્ષ 1999માં ચેન્નઈના B-1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. તે વારંવાર થાઈલેન્ડની મુલાકાત લેતો હતો, જે દર્શાવે છે કે તેના સંબંધો સીધા વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા છે. લોજિસ્ટિક હેડ તરીકેની ભૂમિકાશાહજહાં આ આખા ઓપરેશનનો ‘લોજિસ્ટિક હેડ’ હતો. તેનું મુખ્ય કાર્ય ભારતમાં બેસીને બેંગકોક સ્થિત આકાઓ સાથે સંપર્કમાં રહીને માલની હેરાફેરી માટેનું નેટવર્ક ગોઠવવાનું હતું. કેરિયર્સ (ડ્રગ્સ લાવનારા માણસો) ને તૈયાર કરવા, તેમને ફ્લાઈટની ટિકિટો અપાવવી અને માલ ભારત પહોંચે ત્યારે તેને સુરક્ષિત રીતે રિસીવ કરી આગળ વેચાણ માટે મોકલવો - આ બધું જ પ્લાનિંગ શાહજહાંના ઈશારે થતું હતું. સુરત એરપોર્ટ પર ઓપરેશન અને 6 કરોડનું ડ્રગ્સઆ સમગ્ર પ્રકરણની શરૂઆત 22 ડિસેમ્બર, 2025ના રોજ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બેંગકોકથી સુરત આવતી ફ્લાઈટમાં કરોડોનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. પોલીસે વોચ ગોઠવીને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ (IX-263) માંથી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસીયા અબ્દુલ કપુર નામના બે ‘કેરિયર’ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 17 કિલો 758 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 6,18,03,000 હતી. ચેન્નઈમાં મધરાતે ઓપરેશન અને શાહજહાંની ધરપકડસુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા શાહજહાંનું લોકેશન ચેન્નઈમાં ટ્રેસ કર્યું હતું. તાત્કાલિક એક ટીમ તમિલનાડુ મોકલવામાં આવી અને 12 ફેબ્રુઆરી, 2026ના રોજ મધરાતે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને શાહજહાંને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાંની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવ્યો છે, જ્યાં હાલમાં 18 ફેબ્રુઆરી સુધીના તેના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોહમ્મદ અલી અને અબ્રાહિમની સંડોવણીશાહજહાંની પૂછપરછમાં બે મોટા નામ સામે આવ્યા છે મોહમ્મદ અલી અને મોહમ્મદ અબ્રાહિમ. આ બંને મૂળ ચેન્નઈના છે, પરંતુ હાલમાં બેંગકોકમાં રહીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવે છે. તેઓ છેલ્લા બે-અઢી વર્ષથી ભારતના અલગ-અલગ શહેરોમાં શાહજહાં જેવા એજન્ટો મારફતે હાઈબ્રીડ ગાંજો ઘુસાડી રહ્યા છે. હાલમાં આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાર્બન પેપરનો ઉપયોગ કરી સ્કેનરને છેતરતાઆ ટોળકી ડ્રગ્સની હેરાફેરી માટે અત્યંત ચાલાકીભરી પદ્ધતિ અપનાવતી હતી. આરોપીઓ ટ્રોલી બેગના તળિયે ગુપ્ત ખાના બનાવતા હતા. ડ્રગ્સના પેકેટ પર કાર્બન પેપર અને સ્પેશિયલ પ્લાસ્ટિક કોથળીઓ વીંટાળવામાં આવતી હતી. આ પદ્ધતિનો હેતુ એરપોર્ટ પરના એક્સ-રે સ્કેનિંગ મશીનથી બચવાનો હતો, જેથી સ્કેનરમાં કેનાબીસનો જથ્થો પકડાઈ ન જાય.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:31 pm

12 વર્ષની માસૂમને ગર્ભવતી બનાવનાર કિશોરને 20 વર્ષની કેદ:બાળકી પર ત્રણવાર ગુજાર્યો'તો બળાત્કાર, સુરતમાં જુવેનાઇલ કોર્ટે કિશોરને પોક્સો હેઠળ લાંબી સજા ફટકાર્યાનો પહેલો કેસ

સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં અને ખાસ કરીને પોક્સો એક્ટ હેઠળ સુરતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. સચિન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ 12 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ વાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવનાર કિશોરને જુવેનાઇલ કોર્ટે 20 વર્ષની સખત સજા ફટકારી છે. સુરતમાં આ પહેલો એવો કેસ છે જેમાં કોઈ કિશોરને પોક્સો એક્ટ હેઠળ આટલી લાંબી સજા ફટકારવામાં આવી હોય. 12 વર્ષની દીકરીને બે મહિનાથી માસિક ન આવતા માતા-પિતા ચિંતિત ઘટનાની વિગતો મુજબ, ફેબ્રુઆરી 2023માં સચીન પોલીસ મથકે આ હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ હતી. એક શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતા-પિતા ચિંતિત હતા. શરૂઆતમાં નબળાઈ માનીને અવગણના કરી, પરંતુ જ્યારે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે માસૂમ બાળકી 4 મહિનાની ગર્ભવતી હતી. પાડોશમાં રહેતા કિશોરે માસૂમ પર ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતોબાળકીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, જ્યારે તેણીના માતા-પિતા કામ પર ગયા હોય અને ઘરે કોઈ ન હોય ત્યારે પાડોશમાં રહેતો કિશોર અવારનવાર ઘરમાં ઘૂસી આવતો હતો. આરોપીએ બાળકીની મજબૂરીનો ફાયદો ઉઠાવી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયતને કારણે બાળકી ગર્ભવતી બની હતી અને અંતે તેનું ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. કિશોરની મનોસ્થિતિ પુખ્ત વ્યક્તિ જેવી જ ગુનાહિત હતીઆ કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીની ઉંમરની ચર્ચા થઈ. આરોપી ઘટના સમયે 17 વર્ષનો હતો. કાયદા મુજબ 16થી 17 વર્ષના કિશોરો જો ગંભીર ગુનો કરે, તો બાળ સુરક્ષા અધિકારી તેમનો મનોવૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરે છે. આ કેસમાં પણ સાબિત થયું કે, કિશોરની મનોસ્થિતિ કોઈ પુખ્ત વ્યક્તિ જેવી જ ગુનાહિત હતી, જેના આધારે કોર્ટે તેને કડક સજા તરફ ધકેલ્યો. સુરતનો પ્રથમ ઐતિહાસિક કેસસરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટે કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરતની જુવેનાઇલ કોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનામાં કોઈ કિશોરને સજા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે. એડિશનલ સેશન્સ જજ વિનોદ વી. પરમારની કોર્ટે મેડિકલ પુરાવા અને પીડિતાની જુબાનીને ગ્રાહ્ય રાખી આ કડક આદેશ આપ્યો હતો. ઘરથી જેલ સુધીની સફરઆરોપી હાલ 20 વર્ષનો છે અને તેને કુલ 20 વર્ષની સજા ભોગવવાની છે. તે 21 વર્ષનો પૂરો ન થાય ત્યાં સુધી તેને મહેસાણા ખાતેના 'જુવેનાઇલ હોમ'માં રાખવામાં આવશે. તેની ઉંમર 21 વર્ષ પૂરી થશે એટલે તેને તાત્કાલિક અસરથી સામાન્ય કેદીઓની જેમ જેલમાં મોકલી આપવામાં આવશે. સમાજ માટે લાલબત્તી સમાન ચુકાદોઆ ચુકાદો એવા તત્વો માટે ચેતવણી સમાન છે, જેઓ માને છે કે 'કિશોર' હોવાનો ફાયદો ઉઠાવીને ગંભીર ગુનાઓમાંથી બચી શકાય છે. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ગુનો જઘન્ય હોય અને મનોસ્થિતિ ગુનાહિત હોય તો કાયદો કોઈપણ પ્રકારની દયા દાખવશે નહીં.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 9:16 pm

મોરબીના વીસીપારામાં પાણીની સમસ્યાનો અંત આવશે:₹9.37 કરોડના ખર્ચે નવી પાઇપલાઇનનું નેટવર્ક પથરાશે, 10 હજાર મીટરની કામગીરી પૂર્ણ

મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રૂ. 9.37 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કાનું પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહેશે. મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા વીસીપારા વિસ્તારનો વિગતવાર સર્વે કરીને પ્રાથમિક DPR તૈયાર કરવામાં આવ્યો હતો. સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વીસીપારાના રહેવાસીઓને પૂરતા દબાણ સાથે પીવાલાયક પાણી પહોંચાડવાનો છે. આ યોજના ભવિષ્યમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને ટકાઉ પાણી પુરવઠા નેટવર્ક ઊભું કરવા માટે તૈયાર કરવામાં આવી છે. જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું DI-K7 નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. આનાથી પાણી પુરવઠાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. વિતરણ નેટવર્કને ત્રણ મુખ્ય વિતરકોમાં વિભાજિત કરવામાં આવ્યું છે: વીસીપારા મેઇન રોડ, અમરેલી મેઇન રોડ અને વિજયનગર મેઇન રોડ. આ યોજના અંતર્ગત વર્ષ 2026 સુધીમાં વીસીપારાની અંદાજિત 20,161 વસ્તીને આવરી લેવામાં આવશે. કુલ 35,311 મીટર લંબાઈની નવી DI-K7 પાઇપલાઇન નાખવામાં આવશે, જેમાંથી 10,000 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. નવા વાલ્વ લગાવવાથી પાણીનો જથ્થો નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:50 pm

લીંબડીમાં પ્રોફેસરના બંધ મકાનમાં ચોરી:4.50 લાખ રોકડ, દાગીનાની ઉઠાંતરી; પોલીસ તપાસ શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં એક પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.50 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટના ગોલતર પા વિસ્તારમાં બની હતી, જ્યારે મકાનમાલિક બહારગામ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજના પ્રોફેસરનું મકાન બંધ હતું ત્યારે તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કર્યો હતો. તેઓ રોકડ રકમ અને કિંમતી દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે લીંબડી શહેરમાં એક જ દિવસમાં અલગ-અલગ ત્રણ ચોરીના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાઓને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે અને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. શહેરવાસીઓ દ્વારા માત્ર તપાસ જ નહીં, પરંતુ તસ્કરોને ઝડપી પાડવા અને શહેરમાં અસરકારક પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસ આ સીરિયલ ચોરીઓના આરોપીઓને કેટલી ઝડપથી પકડી પાડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:50 pm

JEE મેઈન્સમાં રાજકોટનો વિદ્યાર્થી ગુજરાત ટોપર:નિમય પુરોહિતે 100 પર્સેન્ટાઇલ મેળવ્યા, માતા-પિતા ડૉક્ટર છતાં દીકરાએ એન્જિનિયરિંગ પસંદ કર્યુ

ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાત ટોપર રહ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તેને છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હોવાથી તેને એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે અને ત્યારબાદ મુંબઈ IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન છે. વિદ્યાર્થી નિમય પુરોહિતે જણાવ્યું હતુ કે, ઓગસ્ટ 2025માં સિલેબસ પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારથી જાન્યુઆરી સુધી રિવિઝન ચાલતું હતુ. જેમાં દૈનિક ટેસ્ટની પ્રેક્ટિસ હોવાથી ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. જ્યારે મેથ્સમાં 96 અને કેમેસ્ટ્રીમાં 95 માર્ક્સ આવ્યા છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કર્યુંતેમણે જણાવ્યું કે, પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. 300થી વધુ વિદ્યાર્થીઓએ JEEની પરીક્ષા આપી હતીજ્યારે રાજકોટ એલનના સેન્ટર હેડ અમ્રિતાશ મુખરજીએ જણાવ્યું હતું કે, અહીંના વિદ્યાર્થી નિમય પુરોહિતને JEE મેઈનમાં 100 પર્સન્ટાઇલ આવ્યા છે અને તે ગુજરાત ટોપર રહ્યો છે તે ખૂબ જ ખુશીની વાત છે. અહીંથી 300થી વધુ વિદ્યાર્થીઓએ JEEની પરીક્ષા આપી હતી. અહીં ધોરણ 9 થી જ વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ આધારિત ખુબ જ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે અને તેના કારણે અહીંનું પરિણામ ગુજરાતમાં ખૂબ જ સારું હોય છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:29 pm

દેણું થતા પાડોશીના ઘરમાંથી ઘરેણાં અને 200 ડોલરની ચોરી કરી:શરૂઆતમાં રૂ.7000 ચોર્યાની કબૂલાત આપી પરત કરી દીધા, બાદમાં વધુ ચોરીનો ભાંડો ફૂટતા પોલીસે આરોપીને ઝડપી મુદામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી

રાજકોટ શહેરમાં પહેલો સગો પડોશીની કહેવતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. રાજકોટના પેડક રોડ પર રણછોડવાડી ગેઈટ નંબર 2માં શેરી નંબર 3માં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈ હરગણ (ઉ.વ.33)ના બંધ મકાનમાંથી પાડોશમાં જ રહેતા જયેશ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈ ગામીએ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત 200 ડોલરની ચોરી કરી હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી એક દારૂની બોટલ મળી આવતા અલગથી ગુનો નોંધી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે. કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોટા ભાઈ અને ભાભી આફ્રિકામાં રહે છે ભાભી છેલ્લા દોઢેક મહિનાથી તેના ઘરે આવેલા છે. ગઈ તારીખ 9.2.2026ના રોજ તેના ભાભી અને દાદી સુરત લગ્નમાં ગયા હતા જ્યારે તે અને તેના પિતા રેસ્ટોરન્ટમાં હતા. સાંજે તેના પત્ની માતા અને પાડોશીઓ સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા આ સમયે તેની પત્નીના ફોનમાં પાડોશી જયેશે કોલ કરી ટિફિન બંધાવાની વાત કરી હતી. આ બાબતે શંકા જતાં તાત્કાલિક તેની પત્નીને ઘરે મોકલી હતી ત્યારે જયેશ તેના મકાનના ફળિયામાં જોવા મળ્યો હતો જો કે ક્યા કારણથી આવ્યા તે બાબતે પૂછતા તેનો નંબર લેવા માટે આવ્યાનું કહ્યું હતું. આરોપી જયેશની વાત ગળે નહીં ઉતરતા પત્નીએ અલમારીમાં રાખેલ પર્સ ચેક કરતાં તેમાંથી રૂ.7000 ગાયબ હતાં. જે રકમ જયેશે ચોરી કર્યાની શંકા જતાં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. જો કે જયેશે પોતાની ભૂલ થઈ ગઈ છે અને હાલ લગ્નની વાત ચાલુ હોવાથી ફરિયાદ નહીં કરવાની વિનંતી કરી રૂ.7000 પરત આપી દીધા હતા. બાદમાં ગઈ તા.13.2.2026ના રોજ બપોરે તેના ભાભીને ચોરી થયાની જાણ થતાં તેણે રૂમમાં માળિયામાં મૂકેલા થેલામાં પર્સ ચેક કરવા કહ્યું હતું જેમાંથી સોનાના બે ચેન, ચાર વીંટી, ત્રણ જેન્ટસની વીટી, પાટલા, ચાંદીની વીંટી, ચાંદીનો સિક્કો, રૂ.8000, 200 ડોલર અને ભાભીનો પાસપોર્ટ જોવા મળ્યો ન હતો. આ પછી પાડોશી જયેશે જ આ ચોરી કર્યાની શંકા જતા તેને બોલાવી પૂછપરછ કરતાં પોતે ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને બેથી ત્રણ દિવસમાં તમામ ચોરી કરેલ મુદામાલ પરત આપી દેશે તેમ કહ્યું હતું પરંતુ પરત નહીં આપતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી જયેશને પકડવા જતાં તે અંગ્રેજી દારૂની એક બોટલ સાથે મળી આવતા પ્રોહીબીશનનો અલગથી ગુનો નોંધી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તપાસ તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પોતે એકલવાયું જીવન જીવંત હોવાનું અને ગેરેજ ચલાવતો હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત પોતે દેણું થઇ જતા ચોરી કર્યાનું રટણ કર્યું હતું પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ દેણું ન થયા હોવાનું અને મોજશોખ પાછળ ખર્ચ કરવા ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે હાલ તેણે ચોરી કરી મુદામાલ ક્યાં સગેવગે કર્યો છે તે જાણવા આ મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:28 pm

સુરતમાં આગના બે બનાવ:ગેસના લીકેજને કારણે 10 ઝૂંપડાઓ બળીને ખાખ, રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી

સુરતમાં આજે આગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી, જેમાં એક સ્થળે રાંધણ ગેસના લીકેજને કારણે ઝૂંપડાઓ બળીને ખાખ થયા હતા, જ્યારે બીજા બનાવમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આભવા ચોકડી પાસે ગેસ લીકેજથી આગમાં10 ઝૂંપડાઓ ખાખ આગના પહેલા બનાવમાં, સુરતના આભવા ચોકડી વિસ્તારમાં આજે એક દુખદ ઘટના બની હતી. અહીં આવેલા શ્રમિકોના ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાને કારણે આ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં 8 થી 10 જેટલા ઝૂંપડાઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ગરીબ પરિવારોએ પોતાની ઘરવખરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ગોપીપુરામાં રહેણાંક મકાનમાં આગ બીજી ઘટના સુરતના ગીચ ગણાતા ગોપીપુરા વિસ્તારમાં બની હતી. અહીં એક મિશ્ર વપરાશ ધરાવતા રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતા આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસના મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઇજા કે જાનહાનિ અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:27 pm

મોરબીમાં શિવરાત્રી પર નોનવેજનું વેચાણ ચાલુ રહેતા વિવાદ:જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહીની વિહિપ-બજરંગ દળની માંગ

મોરબી શહેરમાં મહાશિવરાત્રીના દિવસે નોનવેજનું વેચાણ ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકા દ્વારા કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમ છતાં તેનો ભંગ થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળ દ્વારા આ મામલે કમિશનરને રજૂઆત કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા ગત 13 ફેબ્રુઆરીના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ, 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શહેરી વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા અને માંસ, મટન, ચિકન તથા મચ્છીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, કમિશનરના આ જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. શિવરાત્રીના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલી મચ્છી માર્કેટ અને શક્તિ ચોક નજીક આવેલા ખાટકીવાસ સહિતના વિસ્તારોમાં નોનવેજનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી હતી. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે નોનવેજની દુકાનો ખુલ્લી હોવાના ફોટોગ્રાફ્સ પણ રજૂઆત સાથે જોડ્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જાહેરનામાનો ભંગ કરીને નોનવેજનું વેચાણ થવાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. વિહિપ અને બજરંગ દળ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:16 pm

પંચમહાલમાં મહેસૂલ ACS જયંતિ રવિએ બેઠક યોજી:પડતર કેસોના ઝડપી નિકાલ, સમયબદ્ધ કામગીરી પર ભાર

પંચમહાલ જિલ્લા સેવાસદન કચેરી ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ મહેસુલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, iRCMS હેઠળ લાંબા સમયથી પડતર રહેલા કેસોના ઝડપી અને પારદર્શક નિકાલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓને કેસોની પ્રાથમિકતા નક્કી કરીને સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. iORA પોર્ટલ હેઠળ મળતી અરજીઓનો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે દૈનિક મોનીટરીંગ વ્યવસ્થાને મજબૂત બનાવવા પણ સૂચન કરાયું હતું. એક વર્ષથી વધુ સમયથી બાકી રહેલા વિજિલન્સ/તકેદારી કેસોની વિગતવાર સમીક્ષા કરીને તેમના ઝડપી નિકાલ માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લામાં ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે જરૂરી સૂચનો કરાયા હતા. ACS જયંતિ રવિએ મહેસુલી કામગીરીમાં સમયબદ્ધતા, જવાબદારી અને જનહિતને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:12 pm

કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ:વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે કારમાં અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્વરિત કામગીરી હાથ ધરી. ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ નુકસાન ટળ્યું હતું. આગ લાગતા સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને વિસ્તારમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. કાર ચાલકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. કાર ચાલકે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આ અચાનક આગ લાગી હતી. ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી વાહન માલિકોએ વાહનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. સ્થાનિક પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અલકાપુરી ખાતે પેટ્રોલ પંપ પાસ કાર ચાલુ હતી અને એમાં અચાનક 'મિસ-ફાયરિંગ' થયું હતું. પેટ્રોલ પુરાવ્યા પેટ્રોલ પુરાવ્યા પછી ગાડીમાં એન્જિનમાં તકલીફ થતી હતી. જેથી આગ લાગી ગઈ હતી. જેથી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:10 pm

અંબિકા નહેરમાં અચાનક પાણી છોડાતાં ખેતરો બેટમાં ફેરવાયા:પારનેરા પારડી ગામમાં અનેક ખેડૂતોના પાકમાં ભારે નુકસાન, વળતરની માંગ

વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી અંબિકા નહેરમાં અચાનક પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર્વ સૂચના વિના છોડાયેલા પાણીને કારણે ખેડૂતોના લાખો રૂપિયાના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિએ નહેર વિભાગ દ્વારા કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. નહેરની લાંબા સમયથી સફાઈ કે મરામત ન થઈ હોવાથી, પાણી ઓવરફ્લો થઈને સીધું ખેતરોમાં ઘૂસી ગયું હતું. સવાર સુધીમાં અનેક ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી નહેર વિભાગ દ્વારા આ વિસ્તારમાં કોઈ સફાઈ કે મરામત કરવામાં આવી નથી. નહેરમાં કચરો અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. રાત્રે અચાનક પાણી છોડવાને કારણે ટામેટા સહિતના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ નહેર વિભાગને જાણ કરી હોવા છતાં કલાકો સુધી પાણી બંધ કરવામાં આવ્યું ન હતું. આ ઘટનામાં પારનેરા અને આસપાસના પારડી વિસ્તારના અંદાજે 40 થી 50 ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. ટામેટા અને અન્ય શાકભાજીનો ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એક ખેડૂતને અંદાજે ₹1.5 લાખથી ₹2 લાખ સુધીનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ખેડૂતોએ તેમની મહેનતથી તૈયાર કરેલો પાક નજર સામે બરબાદ થતા ભારે હતાશા વ્યક્ત કરી છે. તેમણે નહેર વિભાગની બેદરકારીની તપાસ કરવા અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:05 pm

વડોદરા જિલ્લા પંચાયતનું 39 કરોડનું બજેટ મંજૂર:સરદાર જન્મજયંતિની ઉજવણીના નાણાં ફાળવણી માટે વિપક્ષનો ફ્લોર પર બેસી વિરોધ; સગર્ભા માતાઓના પોષણ માટે 70 લાખની જોગવાઈ

વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27ના બજેટની મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે વિપક્ષના વિરોધ બાદ મંજૂર કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી માટે સમાજ કલ્યાણ વિભાગમાં નાણાંની કોઈ ફાળવણી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ફ્લોર પર બેસી જઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત દ્વારા 39.52 કરોડનું બજેટ રજૂ કરાયુંજિલ્લા પંચાયત દ્વારા વિવિધ વિભાગમાં વિકાસ માટે 39.52 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે, બજેટમાં જિલ્લા સભ્યોએ સૂચવેલા વિકાસના કામો માટે 6 લાખ એમ કુલ મળી બે કરોડ ચાર લાખની જોગવાઈ કરવામાં આવી છે. ક્ષેત્રમાં સુવિધાઓ પુરી પાડવા માટે 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સગર્ભા માતાઓના પોષણ માટે 70 લાખની જોગવાઈશૈક્ષણિક કુદરતી આફતો અને બાળ ઉત્સવ માટે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 13.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ખૂટતી સુવિધાઓ પુરી પાડવા માટ્ટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. કુપોષિત બાળકો માટે પોષણ અભિયાન અંતર્ગત અંદાજપત્રમાં 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સગર્ભા માતાઓના પોષણ માટે પ્રથમ વખત 70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ શાસિત પંચાયતનું બજેટ માટે કાગળ ઉપરજિલ્લા પંચાયતના બજેટ અંગે વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે, ભાજપ શાસિત પંચાયતનું બજેટ માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગે છે. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી તે પૈકી નાણાંનો વપરાશ થયો નથી. માત્ર કાગળ ઉપર જ બજેટ જોવા મળે છે. તેઓએ એમ પણ આક્ષેપ કર્યા હતા કે ભાજપના અંદાજપત્ર ઉપર સરદાર પટેલના ફોટાનો ઉપયોગ કરાયો છે, પરંતુ બજેટમાં તેઓની જન્મ જયંતીની ઉજવણી માટે કોઈ પણ નાણાંની ફાળવણી કરવામાં આવી નથી. ફ્લોર પર બેસી બજેટમાં નાણાં ફાળવણીની માંગણી કરીઉલ્લેખનીય છે કે, બજેટની સામાન્ય સભા દરમિયાન વિપક્ષે આ મુદ્દો ઉઠાવી વિરોધ કર્યો હતો અને ફ્લોર પર બેસી જઈ બજેટમાં ફાળવણી કરવાની માંગણી કરી હતી. જે બાદ બાંયધરી આપી બજેટમાં તેની ફાળવણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 8:04 pm

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:સાંતેજમાં અંબાજી મંદિર પાસે ચાલતા વિદેશી દારૂ કટિંગનો પર્દાફાશ, બૂટલેગરો ફરાર; 8 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતેજ વિસ્તારમાં પુર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને અંબાજી મંદિર નજીક તળાવ પાસે ચાલતા વિદેશી દારૂના કટીંગનો પર્દાફાશ કરી રૂ.3.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, આ રેડ દરમિયાન બુટલેગરો અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા. અંબાજી મંદિર પાસે તળાવની પાળે વિદેશી દારૂ કટિંગસાંતેજ પોલીસ મથક હદ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી. પરમાણની ટીમ મિલકત સંબધિત ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક પીકઅપ ડાલા દ્વારા વિદેશી દારૂનો જથ્થો લાવીને સાંતેજ અંબાજી મંદિર પાસે આવેલા તળાવની પાળે ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો આગળ સપ્લાય કરવા માટે એક સ્વીફ્ટ કારમાં ભરવામાં આવી રહ્યો છે. પોલીસની ગાડીઓ પહોંચતા જ બુટલેગરો નાસી છૂટ્યાજે બાતમીના આધારે એલસીબીએ બે ગાડીઓ સાથે ત્રાટકી હતી. જોકે પોલીસની ગાડીઓનું અજવાળું જોતા જ બુટલેગરો પોતાની કાર અને દારૂનો જથ્થો ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા. જેમનો પોલીસે પીછો કર્યો હોવા છતાં રાત્રિના સમયે તેઓ પકડાયા નહોતા. વિદેશી દારૂની બોટલો સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્તબાદમાં પોલીસે ગાડી અને તેની આસપાસ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 24 પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા રૂ.3.74 લાખની કિંમતની 1008 નંગ વિદેશી દારૂની બોટલો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે એલસીબી એ દારૂનો જથ્થો, સ્વીફ્ટ કાર મળીને કુલ રૂ.8.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાંતેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:57 pm

સાજણાવદર ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી:વાડીના રસ્તા બાબતે ઝઘડો, બંનેને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

ગઢડાના સાજણાવદર ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ છે. વાડીમાં ચાલવાના રસ્તા બાબતે થયેલા ઝઘડામાં બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ગઢડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજુભાઈ શંભુભાઈ ચૌહાણ અને ટીચુભાઈ તળસીભાઈ ચૌહાણ વચ્ચે વાડીના રસ્તા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આજે આ બાબતે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મારામારીમાં બંને ભાઈઓને સામસામે ઈજાઓ થઈ હતી. તાત્કાલિક તેમને ગઢડાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત રાજુભાઈના ભાઈ મુનાભાઈ ચૌહાણે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતેથી આ ઘટના અંગે માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:56 pm

ડ્રગ્સ કેસનો ફરાર આરોપી પંજાબથી ઝડપાયો:જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યો હતો

જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી વિશાલસિંગ જશવીરસિંગ મટુ નાસી છૂટ્યા બાદ પંજાબથી ફરી ઝડપાઈ ગયો છે. તેને જામનગર પરત લાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જામનગર નજીક મોટી ખાવડી ગામ પાસેથી SOGએ પંજાબના ચાર શખ્સોને 418 ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓને મેઘપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. તેમાંથી વિશાલસિંગ જશવીરસિંગ મટુ નામનો આરોપી ગત 7મી તારીખની સાંજે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીના નાસી છૂટ્યાની જાણ થતાં જ મેઘપર પોલીસ, SOG, LCB સહિતની પોલીસ ટુકડીઓએ નાકાબંધી કરાવી હતી, પરંતુ વિશાલસિંગ હાથ લાગ્યો ન હતો. આ ઘટના બાદ મેઘપર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસની અલગ-અલગ ટુકડીઓ દ્વારા આરોપીની સઘન શોધખોળ ચાલુ હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતનમાં પંજાબ પહોંચી ગયો છે. આથી જામનગરથી એક પોલીસ ટુકડી પંજાબ રવાના થઈ હતી અને આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડી જામનગર પરત લાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:52 pm

કમિશનરનો આદેશ છતાં હાજર ન રહ્યા અધિકારી:સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉ એ. પી. ભટ્ટ સસ્પેન્ડ

સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજ દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારીનું વાતાવરણ ઊભું કરવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં આવતા ભાગોળ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ અધિકારીને હાજર રહેવા સૂચના અપાઈ હતી છતાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. એ.પી. ભટ્ટ ગેરહાજર રહેતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગસુરત મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 16/02/206 ના રોજની થીમ માર્કેટ અને તેની આજુબાજુના વિસ્તારની સફાઈ નક્કી કરવામાં આવી હતી. આ કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. સૂચના છતાં ગેરહાજરજ્યારે કમિશનર ભાગળ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે નાયબ આરોગ્ય અધિકારી ડૉ. એ.પી. ભટ્ટ ગેરહાજર જણાતા કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી સૂચનાનું ઉલ્લંઘન અને ફરજ પ્રત્યેની આ ઘોર બેદરકારીને ગંભીર ગણીને કમિશનરે સ્થળ પર જ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ઓર્ડરમાં શું જણાવ્યું?ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, ડૉ. ભટ્ટ એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી છે. જાહેર આરોગ્ય અને શિસ્તના હિતમાં આવી વર્તણૂક ચલાવી શકાય તેમ ન હોવાથી, ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)ના નિયમો હેઠળ તેમની સામે ખાતાકીય તપાસ વિચારણા હેઠળ લેવામાં આવી છે. તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે કમિશનરની મંજૂરીથી તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ હુકમની નકલ ઝોનલ ચીફ (સેન્ટ્રલ ઝોન) ને મોકલી આપી તાત્કાલિક અમલ કરવા અને વિભાગને રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે. વરિષ્ઠ અધિકારી સામેની આ કડક કાર્યવાહીથી પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:51 pm

રેશનકાર્ડ e-KYC ફરજિયાત: સરકારી અનાજ યોજનાનો લાભ મેળવવા:બનાસકાંઠામાં તમામ સભ્યોએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ

ભારત અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના મુજબ, રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ લાભાર્થીઓની સચોટ ઓળખ સુનિશ્ચિત કરવાનો, નકલી લાભાર્થીઓને દૂર કરવાનો અને યોગ્ય વ્યક્તિ સુધી સરકારી અનાજનો લાભ પહોંચાડવાનો છે. બનાસકાંઠા જિલ્લામાં e-KYCની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો તેમના રેશનકાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોનું e-KYC નજીકની ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે, સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારીઓ પાસે અથવા સંબંધિત મામલતદાર કચેરી ખાતે કરાવી શકે છે. આ ઉપરાંત, કોઈપણ લાભાર્થી પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાન પર જઈને પણ e-KYC કરાવી શકે છે. સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ઘરે બેઠા સેલ્ફ e-KYC કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. લાભાર્થીઓ “My Ration App” ડાઉનલોડ કરીને પોતાના મોબાઇલ ફોનથી આધાર કાર્ડ આધારિત પ્રમાણિકરણ દ્વારા સરળતાથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. e-KYC માટે લાભાર્થીઓએ પોતાનો આધાર નંબર અને રેશનકાર્ડની વિગતો તૈયાર રાખવી જરૂરી છે. જ્યાં બાયોમેટ્રિક આધારિત e-KYC કરવામાં આવે છે, ત્યાં લાભાર્થીએ વ્યક્તિગત રીતે હાજર રહેવું ફરજિયાત રહેશે. બનાસકાંઠા જિલ્લામાં જે લાભાર્થીઓનું e-KYC પૂર્ણ થયું છે, તેમને નિયમિત રીતે અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે. જે નાગરિકોનું e-KYC બાકી છે, તેઓ તાત્કાલિક સંબંધિત કેન્દ્રો પર જઈ પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો નિયમિત રીતે મળી રહે. જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠા દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વિલંબ કર્યા વગર વહેલી તકે પોતાનું અને પોતાના પરિવારના તમામ સભ્યોનું e-KYC કરાવી લે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:50 pm

બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મહિલા મિત્ર પર બ્લેકમેઈલિંગનો આક્ષેપ:મૃતકના પત્ની, પુત્રી, પિતા, તેમના પર્સનલ એકાઉન્ટન્ટ અને ડ્રાઈવરએ નિવેદનો પોલીસ સમક્ષ આપ્યા

સુરત શહેરમાં જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણીના આત્મહત્યાના મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. આ કેસની તપાસ કરી રહેલા 'જી' ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી ઝેડ. આર. દેસાઈએ મીડિયા સમક્ષ તપાસની મહત્વની વિગતો રજૂ કરી છે. મિત્ર સાથે સમાધાનની વાત નિષ્ફળ ગઈપોલીસના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 6 લોકોના નિવેદન લેવાયાં છે. જેમાં તુષાર ઘેલાણી મહિલા મિત્ર સાથે સમાધાનની વાત પણ કરવામાં આવી છે, જે નિષ્ફળ ગયાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 31 જાન્યુઆરી, 2026 અને 1 ફેબ્રુઆરી, 2026ની મધ્યરાત્રિએ થઈ હતી, જ્યારે તુષારભાઈએ પોતાની લાઈસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 5 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ તપાસ અને નિવેદનોની પ્રક્રિયાઘટનાની ગંભીરતાને જોતા ઉમરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીપી ઝેડ. આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી. બી. પરમાર આ કેસની પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. જોકે, 12 ફેબ્રુઆરી, 2026ના રોજ મૃતકની મોટી પુત્રી તન્વીબેને પોલીસમાં એક લેખિત અરજી આપી હતી, જેમાં આત્મહત્યા પાછળના જવાબદાર કારણો અને શંકાસ્પદ વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજી બાદ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી પોલીસ દ્વારા પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી. અત્યાર સુધીમાં કુલ 6 લોકોના નિવેદનો લેવામાં આવ્યાએસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું કે, પરિવારમાં સામાજિક વિધિઓ અને શોકનો માહોલ હોવાથી નિવેદનો નોંધવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ આજે અમે આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં કુલ 6 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં તુષારભાઈની પત્ની, પુત્રી, પિતા, તેમના પર્સનલ એકાઉન્ટન્ટ અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ તમામ નિવેદનોમાં એક જ પ્રકારની હકીકતો સામે આવી રહી છે જે તપાસને નવી દિશા આપી રહી છે. માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગનો આક્ષેપતપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, એક મહિલા દ્વારા તુષારભાઈને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસ નિવેદનો મુજબ, આ મહિલા તુષારભાઈને સામાજિક રીતે બદનામ કરવાની ધમકી આપી રહી હતી. ખાસ કરીને 5 ફેબ્રુઆરીના રોજ બિલ્ડરની પુત્રીના લગ્ન નિર્ધારિત હતા. લગ્ન જેવા પ્રસંગે પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની ધમકી આપીને આ મહિલાએ તુષારભાઈ પર ભારે દબાણ ઉભું કર્યું હતું. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, આ માનસિક પજવણીને કારણે જ તુષારભાઈએ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. મિલકત વિવાદ અને ભાગીદારીનું પાસુંએસીપી ઝેડ. આર. દેસાઈના જણાવ્યા અનુસાર નિવેદનમાં જાણવા મળ્યું છે કે, તુષારભાઈ અને તે મહિલા લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. તેઓ બંને એક સંસ્થામાં ભાગીદાર હોવાનું પણ બહાર આવ્યું છે. તપાસમાં ખૂલ્યું છે કે, મહિલા એવું સાબિત કરવા માંગતી હતી કે તે બિલ્ડરના વ્યવસાય અને મિલકતમાં મોટો હિસ્સો ધરાવે છે. તેણી વારંવાર પોતાની માલિકીના હક જતાવતી હતી અને તુષારભાઈ સાથે મિલકત બાબતે વિવાદો કરતી હતી. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે વ્યવસાયિક લેતીદેતીમાં ગજગ્રાહ હોવાના પુરાવા મળી રહ્યા છે, જેની પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. મહિલા સાથે અનેક વખત સમાધાન માટે બેઠકો કરી હતીપોલીસ સમક્ષ આપેલા નિવેદનોમાં પરિવારે જણાવ્યું છે કે, તુષારભાઈ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે પતાવવા માંગતા હતા. તેમણે તે મહિલા સાથે અનેક વખત સમાધાન માટે બેઠકો કરી હતી અને મામલો થાળે પાડવા પ્રયત્નો કર્યા હતા. જોકે, આ પ્રયાસોનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નહોતું. સમાધાનની પ્રક્રિયા નિષ્ફળ જતાં અને સામે પક્ષે સતત બદનામ કરવાની ધમકીઓ ચાલુ રાખતા તુષારભાઈ ગંભીર તણાવમાં સરી પડ્યા હતા. પોલીસ અત્યારે આ સમાધાનના પ્રયાસોમાં મધ્યસ્થી કરનાર વ્યક્તિઓની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસ હવે ટેકનિકલ પુરાવાની તપાસ કરશેહાલમાં પોલીસે જે 6 લોકોના નિવેદનો લીધા છે તે તમામ મૃતક પક્ષના છે. એસીપીએ સ્પષ્ટ કર્યું છે કે હજુ તપાસનો બીજો તબક્કો બાકી છે. જેમાં તે મહિલા અને તેની બહેનના નિવેદનો લેવામાં આવશે. પોલીસ હવે ટેકનિકલ પુરાવા જેવા કે સીસીટીવી ફૂટેજ, ફોન કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા ચેટ્સની તપાસ કરશે. જો આ પુરાવાઓમાં બ્લેકમેલિંગ કે દુષ્પ્રેરણની કલમો હેઠળ ગુનો બનતો જણાશે, તો પોલીસ તાત્કાલિક ધરપકડ સહિતની કાર્યવાહી કરશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:45 pm

સુરેન્દ્રનગર LCBએ 24 લાખનો દારૂ ઝડપ્યો:સાયલાના ભાડુકા ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાડુકા ગામની સીમમાંથી રૂ. 24,08,640 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ સોમાસર ગામથી ડોળીયા તરફ જતા રોડ પાસેના ખરાબામાંથી મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ આગામી હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. તેમણે LCB પોલીસ ઇન્સ્પેક્ટરને આ અંગે ચોક્કસ બાતમી મેળવી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ભાડુકા ગામની સીમના ખરાબામાંથી કુલ 2820 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂમાં 1440 કાચની મોટી બોટલો હતી, જેની કિંમત રૂ. 18,72,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 1380 પ્લાસ્ટિકની નાની બોટલો (ચપલા) પણ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,36,640 છે. કુલ રૂ. 24,08,640 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ માથુકીયા, ચંદ્રવિજયસિંહ રાણા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમસિંહ પરમાર સહિતની ટીમે પાર પાડી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:42 pm

જામનગર જિલ્લાના નવા પ્રભારી સચિવ તરીકે વિજય ખરાડીની નિમણૂક:પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને મહત્વની જવાબદારી સોંપાઈ

રાજ્ય સરકારે જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજયકુમાર ખરાડીની નિમણૂક કરી છે. અગાઉના પ્રભારી સચિવની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ હેઠળ પસંદગી થતાં આ જગ્યા ખાલી પડી હતી. સરકારના જાહેરનામા દ્વારા આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. નવા પ્રભારી સચિવ હવે જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી સંકલન પર સીધી દેખરેખ રાખશે. વિજયકુમાર ખરાડી રાજ્યના અનુભવી IAS અધિકારીઓ પૈકીના એક છે. વહીવટી ક્ષેત્રનો તેમનો બહોળો અનુભવ આ નિમણૂક પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ અગાઉ તેઓ મહાનગરપાલિકાના કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના આંતરમાળખાકીય વિકાસ અને જાહેર સેવાઓમાં નોંધપાત્ર સુધારા કર્યા હતા. તેમની આ કામગીરીને ધ્યાને રાખીને સરકારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:37 pm

પાલોદરમાં યુવક પર જીવલેણ હુમલો:તળાવમાંથી માટી ખોદવાનો વિરોધ કરતા પાઇપ અને લાકડીથી હુમલો, બે યુવકોને ગંભીર ઇજાઓ

મહેસાણા તાલુકાના પાલોદર ગામે તળાવમાંથી માટી કાઢવા જેવી બાબતે ગત રાત્રિએ મારમારીની ઘટના સામે આવી છે. ગામના જાગૃત યુવકે તળાવમાંથી માટી ખોદવાનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખસોએ પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તળાવમાંથી ટ્રેક્ટર, જેસીબી અને કાર પસાર થતા અટકાવીપાલોદરના ઉમિયાનગર સોસાયટીમાં રહેતા જૈનિતભાઈ વાડીલાલ પટેલ ગત રાત્રિએ ઉમિયા માતાના મંદિર પાસે મિત્રો સાથે બેઠા હતા. આ દરમિયાન તળાવ તરફથી માટી ભરેલું ટ્રેક્ટર, જેસીબી અને કાર પસાર થતા જૈનિતભાઈએ તેમને અટકાવ્યા હતા. અગાઉ પણ માટી ન ભરવા માટે સૂચના આપી હોવા છતાં ખોદકામ ચાલુ રહેતા અને પોતાના ખેતરના ધોવાણનો ડર હોવાથી જૈનિતભાઈએ રજૂઆત કરી હતી. લાકડી અને પાઈપથી તૂટી પડતા યુવકને હાથે ફેક્ચરઆ બાબતની અદાવત રાખી બલેનો ગાડીમાંથી ઉતરેલા ધર્મેન્દ્ર મોહનભાઈ રબારી, રવિ હરગોવનભાઈ રબારી, મોહિત લાલજીભાઈ અને બબલુ નામના શખસોએ બિભત્સ ગાળો આપી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારની ડેકીમાંથી લોખંડની પાઇપ અને લાકડીઓ કાઢી જૈનિતભાઈના માથામાં અને ડાબા હાથના કાંડા પર ફટકા માર્યા હતા. આ હુમલામાં જૈનિતભાઈને હાથે ફ્રેક્ચર થયું છે. જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર-જેસીબી લઈ ફરારવધુમાં પાછળથી અન્ય ગાડીઓમાં આવેલા શખસોએ પણ જૈનિતભાઈના મિત્ર ધવલ પટેલને લાકડીઓ વડે માર માર્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર અને જેસીબી સાથે ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે રબારી સમાજના શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:31 pm

સરપંચની ચૂંટણીમાં હરિફ ઉમેદવારને હરાવવા પૈસાની જરુર હોય ચોરી કરી:રાજસ્થાનથી બાઈક પર આવીને ઘાટલોડિયામાં ત્રાટક્યા હતા, 38 લાખના મુદ્દામાલ સાથે તસ્કર ઝડપાયો

અમદાવાદના ઘાટલોડિયામાં થયેલી રૂ. 13 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ઘાટલોડિયામા રહેતો પરિવાર જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયો હતો.તે સમયે તસ્કરોએ ઘરના ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને સોના ચાંદીના 13.03 લાખના દાગીનાની ચોરી કરી હતી.ઝોન-1 એલસીબીએ ચોરી બાદ 200થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા જેના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવ્યા હતા.આરોપીના વતનમાં યોજાનાર સરપંચની ચૂંટણીમાં સામે વાળા ઉમેદવારને પછાડવા માટે કેટલોક ખર્ચ થવાનો હતો અને આ ખર્ચને પહોંચી વળવા આરોપીઓ ચોરી કરી હતી. ઘાટલોડિયાના બંધ મકાનમાંથી રૂ. 13 લાખના દાગીનાની ચોરી કરી હતીઘાટલોડિયામાં આવેલી ન્યુ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર ગત તા. 22 જાન્યુઆરીએ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા. ત્રણેક દિવસ બાદ આ પરિવાર પરત આવ્યો ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.સંકેતભાઈએ ઘરના બેડરૂમોની તપાસ કરતા તસ્કરોએ 12.70 લાખના સોનાના દાગીના અને 33 હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તપાસ દરમિયાન ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધ્યા બાદ ઝોન-1 એલસીબી પીએસઆઇ જી. કે. ચાવડાની ટીમે ચારેય દિશાના 200થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ત્રણ લોકો એક બાઇક પર ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાઇકના નંબર આધારે તપાસ કરતા ત્રણ પૈકી એક રીઢા ચોરની ઓળખ થઇ હતી. જે ગેંગ રાજસ્થાનની હોવાનું સામે આવતા પોલીસે રાજસ્થાન ખાતે તપાસ કરીને દિનેશ મીણા નામના આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી કૂલ 38 લાખનો મુદ્દામાલ મળી આવ્યોઆરોપી દિનેશ મીણા પાસેથી 37.39 લાખના દાગીના અને બાઇક મળીને કુલ રૂ. 38.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા દિનેશ બાઇક પર તેના બે સાગરિત કમલેશ કલાસુવા અને ઇશ્વર કલાસુવાને લઇને ચોરી કરવા ગયો હતો. કમલેશ અને ઇશ્વરે ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી કમલેશ રીઢો આરોપી છે અને બે ત્રણ ગુનામાં વોન્ટેડ પણ છે. ત્રણેય આરોપીઓ અગાઉ આ જ વિસ્તારમાં રહેતા હતા. સરપંચની ચૂંટણીમાં ખર્ચ માટે પૈસાની જરુર હોય ચોરીને અંજામ આપ્યો હતોઆરોપી રાજસ્થાનના ડુંગરપુરથી બાઇક પર ચોરી કરવા આવ્યા હતા.આરોપીના વતનમાં યોજાનાર સરપંચની ચૂંટણીમાં સામેના ઉમેદવારને પછાડવા માટે કેટલોક ખર્ચ કરવાનો હતો અને તે ખર્ચને પહોંચી વળવા આરોપીઓએ શહેરમાં આવીને આ વિસ્તારમાં સાંજના સમયે બે ત્રણ દિવસ રેકી કરીને આ બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.ચોરી કરીને આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હતા.ત્યારે હવે પોલીસે ફરાર આરોપી કમલેશ અને ઇશ્વરની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:31 pm

સુરેન્દ્રનગર PGVCLનું 11 ગામોમાં વીજ ચેકિંગ:72 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ, રૂ. 17.27 લાખનો દંડ ફટકારાયો

પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી ડામવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અધિક્ષક ઈજનેર એન.એન. અમીનના માર્ગદર્શન હેઠળ કુલ 35 વીજ ચેકિંગ ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ભથારીયા, ઈંગરોડી, લીલાપુર, દેવસર, હેમંતપર, મોરથલા, નાવિયાણી, પાંડવરા, રાજાવાડ અને વાવડી સહિતના કુલ 11 ગામોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમો દ્વારા કુલ 496 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 72 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડી હતી, જેમાં ઘરવપરાશના 68, વાણિજ્યિક (કોમર્શિયલ) 1 અને ખેતીવાડીના 3 કનેક્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વીજ જોડાણ વગર સીધી રીતે થતી ચોરીના પણ 45 જેટલા કેસ પકડાયા હતા. આ તમામ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કુલ રૂપિયા 17.27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:30 pm

આર્ટ ઓફ લિવિંગમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી:બેંગલુરુમાં શ્રી શ્રી રવિશંકરના સાન્નિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અમદાવાદમાં રુદ્રપૂજાનું ભવ્ય આયોજન

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના બેંગલોર સ્થિત આતંરરાષ્ટ્રીય કેન્દ્ર પર દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓની ભવ્ય ભક્તિમય ઉપસ્થિતિ રહી જ્યાં તેઓએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ ઉજવણીમાં ભક્તિમય સત્સંગ તેમજ મહારુદ્રપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. રુદ્રપૂજા બાદ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સુંદર ધ્યાન કરાવવામા આવ્યું. શ્રી શ્રી રવિશંકરજી જણાવ્યું, “મહાશિવરાત્રી એ એવો ક્ષણ છે જ્યારે આત્મા ભૌતિક દુનિયાને પાર કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચે છે. શિવ દરેક કણમાં વ્યાપ્ત છે. આપણું ચૈતન્ય સ્વરૂપ જ શિવ છે. શિવમાં લીન થવું એ ભક્તિ છે અને દરેકમાં શિવને જોવું એ સેવા છે. જે અવિનાશી છે તે આપણામાં અંદર જ સ્થિત છે. આટલો વિશ્વાસ હોય તો જીવનમાં આનંદ જ આનંદ રહેશે અને કોઈ કમી નહીં રહે. માન્યતા છે કે ભક્તિ અને પ્રેમથી શિવરાત્રી ઉજવો તો તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.” “મહાકાલ કેવી રીતે પ્રગટ થાય છે? તે યોગીઓના હૃદયમાં પ્રકાશરૂપે ઝળહળે છે.” આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ પવિત્ર રુદ્ર પૂજા હતી, જે ભગવાન રુદ્રની આરાધનાને સમર્પિત શક્તિશાળી વૈદિક વિધિ છે. રુદ્ર પૂજા શિવની પરિવર્તનકારી ઊર્જાને આવાહન કરે છે, જે નકારાત્મકતાના વિલય અને ઊંચી ચેતનાના જાગરણનું પ્રતિક છે. શ્રી રુદ્રમ ના પ્રાચીન વૈદિક મંત્રોમાં મૂળ ધરાવતી આ વિધિ વાતાવરણને પવિત્ર બનાવે છે, સમૂહ ચેતનાને ઉન્નત કરે છે અને વ્યક્તિ તથા સમાજ માટે શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે. ભારત તેમજ વિદેશમાં કેનેડા, દુબઈ, જર્મની સહિત ૧૫૦ સ્થળોએ પણ રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. બેંગલોર ખાતે ઇન્ટરનેશનલ સેંટર પર રુદ્રમના શક્તિશાળી મંત્રોચ્ચાર, વૈદિક વિધિઓ અને ભાવસભર સંગીત સાથે બ્રાઝિલ, આર્જેન્ટિના, વેનેઝુએલા, મલેશિયા, થાઈલેન્ડ, બલ્ગેરિયા, અરબ દેશો, ચીન તથા યુરોપ, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વના દેશોમાંથી આવેલા 50 દેશોના શ્રદ્ધાળુઓ ભક્તિ, સંગીત અને ધ્યાનમાં એકરૂપ બની જોડાયા હતા. દિવસભર દરમિયાન 3 લાખથી વધુ લોકો એ મહાપ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું, જે 15 ટનથી વધુ શાકભાજીથી હજારો સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતું. આ શુભ દિવસે બે ડઝનથી વધુ વૈદિક લગ્ન અને ષષ્ટિપૂર્તિ વિધિઓ પણ સંપન્ન થઈ હતી. ઓફલાઈન કાર્યક્રમ ઉપરાંત, ઐતિહાસિક સિદ્ધિરૂપે 120 દેશોમાંથી એક લાખથી વધુ લોકો લાઇવ વેબકાસ્ટ દ્વારા ઉજવણીમાં ઓનલાઈન જોડાયા હતા. આર્ટ ઓફ લિવિંગના વાસદ સ્થિત આશ્રમમાં પણ કૌશિક સ્વામીજી (કાશી ભૈયા) ના સાનિધ્યમાં હજારો લોકો એ શિવરાત્રીના વિવિધ કાર્યક્રમો તેમજ રુદ્રપૂજાનો લાભ લીધો હતો. આ ઉપરાંત અમદાવાદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના શિવ રંજની મુખ્ય ધ્યાન કેન્દ્ર પર યોજાયેલ રુદ્રપૂજામાં પણ શહેરના આશરે હજારો ભક્તો શામેલ થયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:28 pm

લોઢવા ગામે 92 ગ્રામજનોના પોર્ટેબલ એક્સ-રે કરાયા:ટીબી મુક્ત અભિયાન 2.0 હેઠળ સમયસર નિદાનનો પ્રયાસ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ટીબી મુક્ત અભિયાન 2.0 અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 92 ગ્રામજનોના એક્સ-રે કરવામાં આવ્યા, જેનાથી ટીબી જેવા ચેપી રોગનું સમયસર નિદાન શક્ય બન્યું છે. કેન્દ્ર સરકારે દેશને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. 'ટીબી મુક્ત ભારત' અભિયાન હેઠળ દેશભરમાં આરોગ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોને પ્રાથમિકતા અપાઈ રહી છે. લોઢવા ખાતેનો આ કેમ્પ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લોઢવા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશ સોલંકીએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં એક્સ-રે સુવિધાના અભાવે દર્દીઓના નિદાનમાં વિલંબ થાય છે. પોર્ટેબલ એક્સ-રે કેમ્પ દ્વારા ગામડાં સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકાય છે. આનાથી ટીબીનું સમયસર નિદાન અને સારવાર શક્ય બને છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં આવા કેમ્પો નિયમિતપણે યોજાશે. કેમ્પ દરમિયાન આરોગ્ય ટીમે ગ્રામજનોને ટીબીના પ્રાથમિક લક્ષણો જેવા કે લાંબા સમય સુધી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો અને રાત્રે પરસેવો આવવા અંગે માહિતી આપી હતી. ટીબીનો ચેપ કેવી રીતે ફેલાય છે અને સમયસર સારવારથી રોગ સંપૂર્ણપણે મટી શકે છે તે વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. શંકાસ્પદ દર્દીઓની સ્થળ પર જ પોર્ટેબલ એક્સ-રે દ્વારા તપાસ કરાઈ હતી. જરૂર જણાશે ત્યાં વધુ લેબોરેટરી તપાસ અને સારવાર માટે રેફરલ પ્રક્રિયા કરાશે. આ કામગીરીમાં PHC સુપરવાઈઝર વિજય ચાંડેરા, MPW, FHW અને સબ સેન્ટર સ્ટાફે સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો. લોઢવા ગામના ગ્રામજનો તરફથી કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આવી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થતાં લોકોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિ વધી છે. ટીબી મુક્ત અભિયાન 2.0 હેઠળ યોજાતા આવા કેમ્પો સરકારની ટીબી સામેની લડતને મજબૂત બનાવે છે. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને જનજાગૃતિ દ્વારા ભારતને ટીબી મુક્ત બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:27 pm

પ્રભારી સચિવે વેજલપુર શાળાની આકસ્મિક મુલાકાત લીધી:શૈક્ષણિક ગુણવત્તા, મધ્યાહન ભોજન અને સુવિધાઓનું નિરીક્ષણ

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ અને નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સુશ્રી શાહમીના હુસૈને આજે વેજલપુર સ્થિત મિશ્રશાળા–15 ની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોને મળતી શૈક્ષણિક સેવાઓ અને સુવિધાઓનું સ્તર સુનિશ્ચિત કરવાનો હતો. મુલાકાત દરમિયાન પ્રભારી સચિવે શાળાના આચાર્ય પાસેથી શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા અને ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી. સુશ્રી હુસૈને વર્ગખંડોની મુલાકાત લઈ શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના અભ્યાસ, સુવિધાઓ અને શાળાના વાતાવરણ અંગે પ્રતિસાદ મેળવ્યો. આ ઉપરાંત, શાળામાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. બાળકોને પોષણયુક્ત આહાર પૂરતા પ્રમાણમાં મળે અને શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને તે માટે શિક્ષકોને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન અપાયું. શિક્ષકો સાથેની ચર્ચામાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા અને અભ્યાસ પ્રત્યે તેમનો રસ જળવાઈ રહે તે માટે નવીન પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આકસ્મિક મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળક સુધી સરકારી સેવાઓ પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. શૈક્ષણિક ગુણવત્તા, આરોગ્ય, ભોજન અને મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર કુમારી નિશા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:27 pm

પ્રાંતિજ કોલ્ડ સ્ટોરેજમાં આગ:હિંમતનગર ફાયરે બુઝાવી, અર્જનપુરામાં કૂવામાંથી મૃતદેહ મળ્યો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ફાયર વિભાગે બે અલગ-અલગ ઘટનાઓમાં કાર્યવાહી કરી હતી. પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા સ્થિત અનંતા કોલ્ડ સ્ટોરેજમાં લાગેલી આગને બુઝાવવામાં આવી હતી. આ ઉપરાંત, હિંમતનગર તાલુકાના અર્જનપુરા ગામમાં એક કૂવામાંથી આધેડ પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહાદેવપુરા ખાતેના અનંતા કોલ્ડ સ્ટોરેજમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી હતી. હિંમતનગર ફાયર વિભાગની ટીમે મિની ટેન્ડર અને એક બ્રાઉઝરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અંદાજે અઢી કલાકની જહેમત બાદ 4000 લિટર પાણીનો ઉપયોગ કરીને આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. બીજી ઘટનામાં, હિંમતનગર તાલુકાના અર્જનપુરા ગામમાં એક ખેતરના કૂવામાંથી પરમાર ગોવિંદજી રમેશજી નામના આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે આ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી ગાંભોઈ પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર મયંક પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બે ફાયર વાહનો દ્વારા કોલ્ડ સ્ટોરેજની આગને અઢી કલાકમાં 4000 લિટર પાણીનો ઉપયોગ કરીને બુઝાવવામાં આવી હતી. તેમણે અર્જનપુરામાં કૂવામાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોવાની પણ પુષ્ટિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:23 pm

ઈશ્વરિયામાં મારવાડી યુનિવર્સિટીની NSS શિબિરનો પ્રારંભ:કલેક્ટર, જિલ્લા પ્રમુખે યુવાનોને રાષ્ટ્રનિર્માણ, વિકાસનો સંદેશ આપ્યો

મારવાડી યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ઈશ્વરિયા ગામે તા.16 થી 22ફેબ્રુઆરી દરમિયાન વિશેષ ગ્રામ્ય શિબિરનો પ્રારંભ થયો છે. આ શિબિર યુવાનોને સમાજસેવા સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ શિબિર ગ્રામ વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ, ડિજિટલ સાક્ષરતા, મહિલા અને બાળ સશક્તિકરણ તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર કેન્દ્રિત છે. ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા પ્રમુખ પ્રવિણા રંગાણી, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, તાલુકા પ્રમુખ હેતલ ચાવડા, મામલતદાર કેતન જી. સખીયા (પડધરી) અને ઈશ્વરિયા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મામ્મેન, ડીન – સ્ટુડન્ટ વેલફેર ડૉ. રાજેશકુમાર પટેલ અને એનએસએસ કોઓર્ડિનેટરે શિબિરની રૂપરેખા રજૂ કરી હતી. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે. તેઓ જો ગ્રામ વિકાસ અને સમાજસેવામાં સક્રિય બનશે તો વિકાસની ગતિ વધુ તેજ બનશે. તેમણે એનએસએસ જેવી પ્રવૃત્તિઓ યુવાનોને જવાબદાર નાગરિક બનાવતી હોવાનું ઉમેર્યું. કલેક્ટરે વધુમાં કહ્યું કે, સ્વચ્છતા, આરોગ્ય અને ડિજિટલ જાગૃતિ આજના સમયની આવશ્યકતા છે. આવા કેમ્પો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અત્યંત ઉપયોગી છે. જિલ્લા પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું કે, ગામના વિકાસમાં યુવાનોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે. એનએસએસ સ્વયંસેવકોનો આ પ્રયાસ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે, મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવી સમયની માંગ છે, અને યુનિવર્સિટીની આ પહેલ પ્રશંસનીય છે. શિબિર દરમિયાન સ્વચ્છતા અભિયાન, જાહેર સ્થળોની સફાઈ, આરોગ્ય ચકાસણી, જાગૃતિ કાર્યક્રમો, ડિજિટલ સાક્ષરતા, સાયબર સુરક્ષા અભિયાન, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા અને બાળ સશક્તિકરણ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાશે. મારવાડી યુનિવર્સિટીની આ પહેલ યુનિવર્સિટી અને ગ્રામ સમાજ વચ્ચે સકારાત્મક જોડાણ મજબૂત બનાવશે. આ શિબિર યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ પ્રબળ બનાવશે અને તેમને વર્ગખંડની બહાર સમાજમાં સેવા આપતા શીખવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:23 pm

અંકુર સ્કૂલના વિદ્યાર્થીઓએ ટે-ક્વોન-ડો નેશનલમાં 6 ગોલ્ડ જીત્યા:નોઈડા ચેમ્પિયનશિપમાં શાળાનું ગૌરવ વધાર્યું

નોઈડા (યુ.પી.) ખાતે તાજેતરમાં યોજાયેલી ટે-ક્વોન-ડો નેશનલ ચેમ્પિયનશિપમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના છ વિદ્યાર્થીઓએ વિવિધ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ગોલ્ડ મેડલ જીતનારા વિદ્યાર્થીઓમાં લક્ષના મુદલીયાર, કવિન મુદલીયાર, સૌમ્ય વૈશ્ય, નૈતિક બારોટ, અભિનવ સીબીશ અને પ્રેમ જયસ્વાલનો સમાવેશ થાય છે. આ તમામ છ વિદ્યાર્થીઓએ પોતપોતાના વજન ગ્રુપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ પદક હાંસલ કર્યા છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના સંચાલકો અને શિક્ષકગણે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિજેતા ખેલાડીઓના ઉજ્જવળ રમત જીવન માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:18 pm

જય ભગવાન ટ્રસ્ટે એક્યુપ્રેશર થેરાપીસ્ટોનું સ્નેહમિલન યોજ્યું:નવી સારવાર પદ્ધતિઓ અને નવા કેન્દ્રો ખોલવા ચર્ચા થઈ

જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક્યુપ્રેશર થેરાપીસ્ટોનું સ્નેહમિલન અને બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 30 જેટલા સેવાભાવી થેરાપીસ્ટોએ ભાગ લીધો હતો. મુંબઈથી સિનિયર એક્યુપ્રેશર થેરાપીસ્ટ દીપક સોનેજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સારવારની નવી પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ભવિષ્યમાં નવા એક્યુપ્રેશર સારવાર કેન્દ્રો ખોલવા અંગે પણ તૈયારીઓ કરવામાં આવી હતી. આનાથી વધુ લોકોને નિઃશુલ્ક સારવારનો લાભ મળી શકશે. આ ઉપરાંત, ઓફલાઈન એક્યુપ્રેશર શીખવવા માટે એક નવીન પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિડિયો શૂટિંગ દ્વારા મોટા સ્ક્રીન પર સરળતાથી શીખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુહાની ફાઉન્ડેશનના સુહાસભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:17 pm

લાખવડ શાળામાં બેગલેસ ડે, વિદ્યાર્થીઓએ રસોઈ બનાવી:ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ જાતે વિવિધ વાનગીઓ તૈયાર કરી

લાખવડ પગાર કેન્દ્ર શાળામાં 'બેગલેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વયં પાક પ્રવૃત્તિ કરી. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જાતે ચૂલા પર વિવિધ વાનગીઓ બનાવી હતી. વર્ગ શિક્ષકોએ વિદ્યાર્થીઓની ટીમો બનાવી હતી અને આગલા દિવસે જ રસોઈ માટેની વાનગીઓ નક્કી કરાવી હતી. કુલ 28 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 6 માંથી 6 ટીમો, ધોરણ 7 માંથી 9 ટીમો અને ધોરણ 8 માંથી 13 ટીમોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ ગાજરનો હલવો, શોલે પુરી, રોટલી, શાક, શીરો, ભજીયા, પકોડી અને આલુ પરોઠા જેવી અનેક વાનગીઓ ચૂલા પર તૈયાર કરી હતી. રસોઈ માટેની તમામ જરૂરી સામગ્રી દરેક વિદ્યાર્થી ટીમ પ્રમાણે ઘરેથી લાવ્યા હતા. આ કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય શ્રી વી.ડી. હડિયોલ અને લાખવડ સી.આર.સી અનિલ દવેએ પ્રેરક હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ધર્મેન્દ્ર પટેલ અને શાળા પરિવારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:16 pm

ભાલકા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:એકતા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંકલ્પ ગુંજ્યો

ભાલકાના શ્રી બાઇ ગરબી ચોકમાં હિન્દુ સંમેલન – કૈલાશ વસ્તી ભાલકા અંતર્ગત એક વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. સમસ્ત હિન્દુ સમાજ આયોજન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો. સંમેલનનો પ્રારંભ મંગલાચારણ અને દીપ પ્રજ્વલનથી થયો હતો. ઉપસ્થિત સંતો અને મહાનુભાવોએ સમાજમાં સમરસતા અને સંગઠનની ભાવના મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને પરિવારો હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળ, સોમનાથના શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસે ધર્મ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આધ્યાત્મિક મૂલ્યો જાળવવા માટે પરિવાર અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. બ્રહ્મકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલયના રાજયોગીની બ્રહ્મકુમારી નીલમબેને રાજયોગ અને આત્મચિંતન દ્વારા આંતરિક શક્તિ વિકસાવવાની પ્રેરણા આપી હતી. તેમણે મહિલાઓ અને યુવા પેઢીને સંસ્કાર અને સકારાત્મક વિચારો દ્વારા સમાજ ઘડતરનો સંદેશ આપ્યો. કથાકાર કલ્પેશ મહેતા અને મોજેશ્વર મહાદેવ, મોરાજના બાલકનાશ બાપુએ પણ ધાર્મિક કથાવાર્તા દ્વારા સનાતન પરંપરાની મહિમા સમજાવી હતી. મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રોહિત હરીયાણીએ હિન્દુ સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે આવા સંમેલનોને સમાજને એક મંચ પર લાવવા અને સામાજિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ કરાયા હતા, જેનાથી ઉપસ્થિતોમાં નવી ઉર્જાનો સંચાર થયો. આ પ્રસંગે સમાજમાં કર્તવ્યબોધ, સ્વદેશી વિચારધારા અને સંસ્કારોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સોજિત્રા, કુડાસણ, વડોદરા, આહવા અને ફતેપુરા જેવા અનેક વિસ્તારોમાં પણ તાજેતરમાં આવા સંમેલનો યોજાઈ રહ્યા છે. જેમાં સંતો-મહંતો, સંઘના અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં હિન્દુ ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. ભાલકા ખાતેનું આ વિરાટ હિન્દુ સંમેલન સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ સમારંભ બની રહ્યું. ઉપસ્થિતોએ હિન્દુ સમાજની શક્તિ, સમરસતા અને સાંસ્કૃતિક ગૌરવને વધુ મજબૂત બનાવવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:16 pm

મહાશિવરાત્રિએ સાળંગપુરધામમાં દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો:500થી વધુ દિવ્યાંગોએ કષ્ટભંજનદેવના દર્શન કરી આનંદ માણ્યો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 500થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાનો હતો. સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને ડી.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મહાશિવરાત્રી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપના વાઘા ધરાવવામાં આવ્યા હતા. સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી ‘શિવસ્વરૂપ થીમ’ પર દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. દિવ્યાંગ ભાઈ-બહેનોને મંદિરમાં આદરપૂર્વક આવકારી, તેમને લાઇનમાં ઊભા રહ્યા વિના સીધા જ દાદાના સુગમ દર્શન કરાવવામાં આવ્યા હતા. દર્શનાર્થે આવેલા તમામ દિવ્યાંગો માટે મંદિર દ્વારા ઉત્તમ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે ડીજેના તાલે ગીત-સંગીતનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો. સંતોએ ‘કિંગ ઓફ સાળંગપુર’નું માહાત્મ્ય સમજાવી તમામ દિવ્યાંગોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ધર્મેન્દ્ર મહારાજ, પ્રવિણસિંહ, ગૌતમભાઈ તેમજ મંદિરના તમામ સ્વયંસેવકો, ભક્તો અને સિક્યુરિટી સ્ટાફે ખડેપગે રહીને સેવા આપી હતી. આ આયોજન દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરે સામાજિક જવાબદારી અને ભક્તિનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:14 pm

પાણીના કુંડાનું વિતરણ:વિસલપુર શાળાના બાળકોએ પક્ષીઓ માટે 2000 પાણીના કુંડાનું વિતરણ કર્યું

અમદાવાદના નારણપુરા સ્થિત કામેશ્વર મંદિર, અંકુર ચાર રસ્તા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસલપુર શાળાના બાળકો દ્વારા 2000 પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ અમદાવાદ (સાઉથ) અને કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય ઉનાળાની શરૂઆત પહેલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:11 pm

કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, 'ગુંડા'થી પરેશાન લોકો રોડ પર ઉતર્યા

Chirag Goti Viral Video: સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો આજે પોલીસે વરઘોડો કાઢ્યો હતો, સુરત શહેર SOG પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા. અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો. લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી હતી રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુકી સર્જાઇ હતી. પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. તેની માથાભારે પ્રવૃત્તિથી અનેક લોકો સહિત આખો વિસ્તાર ત્રાસી ગયો હતો.

ગુજરાત સમાચાર 16 Feb 2026 7:10 pm

કે.ટી. મેડા આશ્રમ શાળામાં શિવરાત્રિની ઉજવણી:દાહોદમાં નવનિર્મિત મહાદેવ મંદિરમાં પ્રથમ શિવરાત્રિ મહોત્સવ ઉજવાયો

દાહોદના ભાથીવાડા સ્થિત કે.ટી. મેડા આશ્રમ શાળામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નવનિર્મિત મહાદેવ મંદિરમાં પ્રથમ શિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. મહોત્સવની શરૂઆત સવારે ભાથીવાડામાં ભક્તિરેલીથી થઈ હતી. ત્યારબાદ યજ્ઞ અને હવન પૂજા સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેમાનો અને બ્રાહ્મણો માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના સંચાલક કે.ટી. મેડા અને તેમના ધર્મપત્નીએ હવન યજ્ઞમાં હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:10 pm

સુરતમાં ઉગતની શાળા નં. 161/166 ના નવા ભવનનું ખાતમુહૂર્ત:₹5.75 કરોડના ખર્ચે 36 નવા ક્લાસરૂમ બનશે, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા

જહાંગીરા બાદ ઉગતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 161/166 ના નવા ભવનનું ખાતમુહૂર્ત યોજાયું. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ઝીણાભાઈ નાવિક શાળા ક્રમાંક -161 રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક -166, જહાંગીરબાદ,ઉગત ખાતે નવીન 36 ક્લાસરૂમ નું ₹ 5.75 કરોડના ખર્ચે રાંદેર ઝોનના ટી. પી. સ્કીમ નં-40 ફાળવેલ પ્લોટ નંબર-54, રાજસાગર રો-હાઉસ સામે ,જહાંગીરબાદ, ઉગત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સભ્ય સ્વાતિ સોસા, સભ્ય વિનોદ ગજેરા, સભ્ય રાજેન્દ્ર કુમાર પટેલ , શાસનધિકારી મેહુલ પટેલ, ઇન્ચાર્જ ઉપશાસનધિકારી રાગીણી દલાલ , સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર કમલેશ પરમાર, CRC કો-ઓર્ડીનેટર અમિત ટેલર, વિશાળ સંખ્યામાં સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી. વિશાળ ભવનનું નિર્માણ કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ આધુનિક શાળાનું નિર્માણ થતા રાંદેર વિસ્તારના વિદ્યાર્થી ઓને શ્રેષ્ઠ શિક્ષણ, ડિજિટલ બોર્ડ સાથે અદ્યટન સુવિધા ઓનો લાભ મળશે. શાળાના આચાર્યશ્રી રોશની બેન ટેલરે ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:08 pm

બોર્ડ પરીક્ષા: લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ:પંચમહાલમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરાણ માટે જાહેરનામું પ્રસિદ્ધ

પંચમહાલ જિલ્લામાં આગામી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત પરીક્ષા કેન્દ્રો નજીક લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં લાઉડ સ્પીકર, ભૂંગળા, ડી.જે. સિસ્ટમ, રેડિયો, ઓડિયો પ્લેયર્સ અને અન્ય કોઈપણ પ્રકારના ઘોંઘાટ કરતા સાધનો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, સ્થળો અને જાહેર રસ્તાઓ પર લાગુ પડશે. આ આદેશ તારીખ 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. પ્રતિબંધ સવારે 09:00 કલાકથી સાંજના 19:00 કલાક સુધી લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:06 pm

પરાપીપળીયાના સગીર પર ચાલુ બાઈકે કુહાડાથી હુમલો:શિવરાત્રીએ સોમનાથ દર્શને ગયેલા રાજકોટના 13 વર્ષીય સગીરનું ટ્રેન અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

રાજકોટના માંડા ડુંગરમાં ડો.ભીમરાવનગરમાં રહેતો 13 વર્ષીય મોહિત નિલેશભાઈ બથવાર શિવરાત્રીના દિવસે સોમનાથ દર્શન કરવા ગયો હતો. સોમનાથ દર્શન કરી બધા ટ્રેનમાં બેસી જૂનાગઢ જવા નક્કી કર્યું હતું જેથી વેરાવળ રેલવે સ્ટેશન ખાતે બધા ટ્રેનમાં બેસવાના હતા ત્યારે અચાનક ટ્રેનમાં ચડતી વખતે દરવાજાના હેન્ડલથી મોહિતનો હાથ છૂટી ગયો અને પગ લપસી ગયો ત્યાં જ ધીમી ધીમી ટ્રેન ચાલુ થઈ જેથી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મોહિત પડી ગયો હતો જેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા તેને સૌપ્રથમ વેરાવળની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોહિત બે ભાઈમાં મોટો અને તે આજીડેમ માનસરોવરમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો તેના પિતા મજૂરી કામ કરે છે. પરાપીપળીયાના 17 વર્ષીય સગીર પર ચાલુ બાઈકે કુહાડાથી હુમલો પરાપીપળીયા ગામે રહેતા જયંતિભાઇ દાનાભાઈ રાઠોડ (ઉ.વ.45)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ સોનારાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ ઘરે હતો ત્યારે કૌટુંબિક ભાઇ જેઠુરભાઇનો ફોન આવેલો કે, તમારા નાના દિકરા કિશનને થોડુ વાગેલુ છે, જેથી તેને એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો છુ તો તમે હોસ્પિટલ આવો જેથી હોસ્પિટલ પહોંચી જોયું તો પુત્રના કપાળે પાટો બાંધેલો હતો, કપડા પર લોહીના ડાઘા હતા. જેઠૂરભાઈને બનાવ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, હું અને કિશન ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડથી ક્રિકેટ રમીને ઘરે આવતા હતા હુ બાઇક ચલાવતો હતો અને કિશન પાછળ બેઠો હતો દરમિયાન પરાપિપળીયાના પાટીયાથી આગળ પહોંચતા રોડ ઉપર વિક્રમ સોનારા સામેથી ચાલીને આવતો હતો અને તેના હાથમા કુહાડો હતો તેણે અચાનક જ કોઇ કારણસર અમારી ચાલુ બાઇકમા કુહાડાનો ઘા મારવા જતા હું નીચે ઝૂંકી ગયેલો હતો. જેથી પાછળ બેઠેલા કિશનને કપાળના ભાગે કુહાડાનો ઘા વાગી ગયો હતો જેથી બન્ને બાઈક સહીત નીચે પડી ગયા હતા. બાદ વિક્રમે ફરીથી બીજો કુહાડાનો ઉંધો ઘા કિશનના હાથના ભાગે માર્યો હતો અને નાસી ગયો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે વિક્રમ સોનારાને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. શાળાએ ગયેલી 15 વર્ષની સગીરા ભેદી રીતે ગુમ રાજકોટના નાનામવા સર્કલ પાસે રહેતા યુવકે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પોતાની 15 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, યુવક ગત તા.14ના રોજ બપોરે કામથી વાવડી ગયા ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો હતો કે, દીકરી હજુ સુધી ઘરે આવી નથી. આથી યુવક ઘરે આવી તેની બહેનને ફોન મારફત બનાવ જણાવ્યો હતો. બાદમાં યુવક અને તેની બહેન દીકરીની શાળાએ જઈ દીકરી ઘરે સમયસર આવી નથી આવું જણાવતા શિક્ષકે કહ્યું કે, શાળાના બધા બાળકો છૂટી ગયા હતા અને તેની સાથે સગીરા પણ ઘરે જવા નીકળી હતી. શાળાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સગીરા શાળામાંથી બપોરે 12.41 વાગ્યે બહાર જતી જોવા મળી હતી. કોઈ ભાળ ન મળતા આખરે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે. તળાવમાંથી કુવાડવાના મુન્નાભાઈની કોહવાયેલી લાશ મળી મુન્નાભાઈ ઓધવજીભાઈ બોહકીયા (ઉં.વ.45)નો કોહવાયેલો મૃતદેહ ગઈકાલે કુવાડવા નજીક મામાદેવના મંદિર પાસે આવેલ તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે 108ના ઇએમટીએ સ્થળ પર તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુન્નાભાઈ બકાલું વેંચવા તેમજ છૂટક ડ્રાઇવિંગ કામ કરતા હતા તેમને સંતાનમાં 3 દીકરા છે. તેઓ છ દિવસથી ઘરેથી ચાલ્યા ગયા હતા અને ગુમ હતા. પરિવાર શોધખોળ કરતો હતો ત્યાં તળાવમાંથી લાશ મળી આવી હતી. હાલ બનાવ આપઘાતનો છે કે પછી અકસ્માતે ડૂબી જતા મોત થયું છે તે જાણવા કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:05 pm

રતન સેવા ટ્રસ્ટે ગૌશાળામાં 251 મણ ઘાસનું દાન:મહાશિવરાત્રી પર્વે કઠવાડાની ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં ઉજવણી

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કઠવાડા સ્થિત ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નરોડાના રતન સેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા ગૌશાળાની ગાયોને 251 મણથી વધુ લીલું ઘાસ અને લીલી શાકભાજી ખવડાવવામાં આવી હતી. આ સેવાકાર્ય દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગૌસેવાનો ભાવ પ્રદર્શિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:05 pm

ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ:બરોડા ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન, 700થી વધુ સ્કેટરોએ ભાગ લીધો

ધી બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા 'ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ' અંતર્ગત રોડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નિર્ધારિત રૂટ પર યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 700થી વધુ સ્કેટર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને 'ક્વાડ' (Quad) અને 'ઇનલાઇન' (Inline) એમ બે ટેકનિકલ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. ખેલાડીઓના વયજૂથ મુજબ 1 કિલોમીટર અને 2 કિલોમીટરની રોડ રેસ યોજાઈ હતી. વહેલી સવારથી જ સ્કેટિંગ ટ્રેક પર ખેલાડીઓ વચ્ચે રસાકસીભરી સ્પર્ધા જોવા મળી હતી. સ્પર્ધાના અંતે, દરેક વયજૂથના વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ રાજ્યકક્ષાની સ્પર્ધાનો હેતુ ગુજરાતમાં રોલર સ્કેટિંગ પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ વધારવાનો અને ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે. મોટી સંખ્યામાં વાલીઓ અને રમતપ્રેમીઓ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:04 pm

પાલડીના વિશ્વકુંજમાં સુંદરકાંડ પાઠ પઠન કાર્યક્રમ યોજાયો:વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત મારુતિ યુવક મંડળે આયોજન કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ કુંજ ખાતેના શ્રી મારુતિ હનુમાન મંદિરમાં ગઈકાલે સાંજે સુંદરકાંડ પાઠ પઠન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વિરાટ હિન્દુ સંમેલનોના ભાગરૂપે આયોજિત કરાયો હતો. કાર્યક્રમનું આયોજન મારુતિ યુવક મંડળ સમિતિ, પાલડી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તક્ષશિલા ફ્લેટની બહેનો દ્વારા ઢોલ-નગારા સાથેની કળશ યાત્રાથી થઈ હતી. ત્યારબાદ સંતો, વક્તાઓ અને આયોજકોએ ભારતમાતા અને હનુમાનજીનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો શ્રી સ્વામી પ્રિયદાસજી અને સ્વામી પ્રશાંત સ્વરૂપજી ઉપસ્થિત રહ્યા હતા. ઉર્વેશભાઈ કંથારીયા, યુવા ખુશી રાજ પુરોહિત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે 'પંચ પરિવર્તન' વિષય પર વક્તવ્યો આપ્યા હતા. આયોજકો દ્વારા ઉપસ્થિત નગરજનો અને આમંત્રિત મહેમાનોને શ્રીરામના ભગવા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ભગવા ખેસ ધારણ કર્યા હતા. કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય, કાઉન્સિલરો અને ભૂતપૂર્વ કાઉન્સિલર તેમજ મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભિક કાર્યક્રમો પછી સુંદરકાંડ પાઠ પઠન શરૂ થયું હતું. આરતી ગ્રુપના રાજેશ શર્માજી અને તેમની ટીમે સુંદરકાંડ પાઠનું પઠન કર્યું હતું. આ પાઠ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો. કાર્યક્રમનું મંચ સંચાલન સંજયભાઈ શર્મા, સંદીપભાઈ શાહ અને વિજયભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ધનવંતરી આર્યુવેદિક ઉદ્યાન પરિવાર ગ્રુપના સભ્યોએ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી જલિયાણ અન્નક્ષેત્ર દ્વારા ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો ઉપસ્થિત તમામ નગરજનોએ લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:03 pm

નિકોલની ગણેશ વિદ્યાલયમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ:શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

અમદાવાદના નિકોલ સ્થિત ગણેશ વિદ્યાલયમાં 'માતૃ-પિતૃ વંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાના ઉચ્ચ સ્થાનના સંસ્કારો વિદ્યાર્થીઓમાં સિંચિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પ્રવીણ પંચાલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરાવવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર અને વૈદિક રીતિ-રિવાજ સાથે આયોજિત આ કાર્યક્રમમાં લગભગ 120 જેટલા માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને તિલક કરી, પૂજન કર્યું અને આરતી ઉતારી હતી. ત્યારબાદ ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ વ્યસનમુક્ત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારનું સિંચન કરવાનો હતો. આ આયોજન જીવનમૂલ્યોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર અલ્કેશ પટેલે ઉપસ્થિત તમામ માતા-પિતા અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 7:01 pm

ગાંધીનગર મનપાની કડક કાર્યવાહી:મહાશિવરાત્રીના મેળામાં ગંદકી અને પ્લાસ્ટિકનો વપરાશ કરનારા 133 તત્વોને 43 હજારનો દંડ ફટકાર્યો

ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને કાયમી સ્વચ્છતા જાળવવાના અભિગમ સાથે મહા શિવરાત્રીના મેળાઓમાં સઘન ચેકીંગ કરાયું હતું. આ પર્વ નિમિત્તે સેક્ટર-22 પંચદેવ મંદિર અને ધોળેશ્વર મંદિર પરિસરમાં ભરાયેલા મેળાઓમાં મહાનગર પાલિકાની સેનિટેશન શાખાની ટીમોએ ત્રાટકીને જાહેરમાં કચરો ફેંકતા કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 133 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂ. 42,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સેક્ટર-22માં પંચદેવ મંદિર પરિસરમાં મેળો યોજાયો હતોમહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શહેરમાં ભરાયેલા મેળાઓમાં સેનિટેશન શાખાની ટીમોએ ત્રાટકીને નિયમ ભંગ કરનારા તત્વો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી હતી.સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભરાયેલા મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ તકનો લાભ લઈ લોકો ગંદકી ન કરે તે હેતુથી મહાનગરપાલિકાની સેનિટેશન ટીમે ધોળેશ્વર મંદિર સહિતના મેળાના સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ, જાહેરમાં ગંદકી, ખુલ્લામાં પેશાબ અને રસ્તા પર થૂંકનારા ઈસમોને ઝડપી પાડી સ્થળ પર જ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. 133 ઈસમો પાસેથી રૂ. 42,800ના દંડની વસૂલાતઆ સઘન તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 133 ઈસમો ઝડપાયા હતા.જેમની પાસેથી કુલ રૂ. 42,800નો દંડ વસૂલીને શિસ્તનું પાલન કરાવવામાં આવ્યું હતું. મનપાની આ કાર્યવાહીમાં સૌથી વધુ અસર ગંદકી ફેલાવનારા 102 લોકો પર પડી હતી. જેમની પાસેથી રૂ. 32,500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. તેજ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા 18 લોકો પાસેથી રૂ. 9,000 અને જાહેર શૌચ તેમજ થૂંકવા બદલ અન્ય લોકો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ અંગે મહાનગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય માત્ર દંડકીય રકમ એકઠી કરવાનો નથી પરંતુ લોકોમાં પોતાની આસપાસના વિસ્તારને સાફ રાખવાની આદત કેળવવાનો છે. તંત્રએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ જાહેર ઉત્સવો અને ગીચ વિસ્તારોમાં આ પ્રકારની ઝૂંબેશ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:58 pm

ચંદ્રુમાણા દૂધેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી:ચાર પ્રહરની પૂજા, બાળ સ્વયંસેવકોના બેન્ડ સાથે મહાઆરતી અને આતશબાજી

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચાર પ્રહરની પૂજા, મહાઆરતી અને આતશબાજી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાંજે બાળ સ્વયંસેવકો દ્વારા રિધમ બેન્ડના સૂર સાથે મહાઆરતી કરવામાં આવી હતી. આરતી બાદ આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન શિવજીની ચાર પ્રહરની પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં લગભગ 10જેટલા શિવભક્તો જોડાયા હતા. શાસ્ત્રી ભરત દવે અને અજીત દવે દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વહેલી પરોઢ સુધી પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના સ્થાનિક કલાકારો રાજેન્દ્ર દવે, ભરત વ્યાસ અને અન્ય કલાકારો દ્વારા ભજન-કીર્તન રજૂ કરીને ભક્તિમય માહોલ બનાવવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરને છત્રી, ઝુમ્મર અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. દૂધેશ્વર મહાદેવ અને નર્મદેશ્વર મહાદેવને ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જે દર્શનીય બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:53 pm

પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનો આત્મહત્યાનો પ્રયાસનો કેસ:વડોદરાની પાયોનિયર કોલેજના પ્રિન્સિપાલે તપાસ માટે કમિટી બનાવી, પોલીસે પીડિત, પરિવાર, સ્ટાફ સહિત 100થી વધુ લોકોના નિવેદન લીધા

વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂઆતમાં વડોદરા અને ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયો હતો. આ મામલે SC ST સેલના ACP સી બી સોલંકીએ આજે પીડિતો, તેમના પરિવારજનો અને કોલેજના પ્રોફેસર, સ્ટાફ અને સ્ટુડન્ટ સહિતના 100થી વધુ લોકોની પૂછપરછ કરીને નિવેદન લીધા હતા. પોલીસે CCTV પણ ચેક કર્યા છે. તેની મદદથી પણ તપાસ ચાલી રહી છે. આ મામલે કોલેજના બે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણીયા ગામના રહેવાસી સમીરભાઈ ડાહ્યાભાઈ રાઠોડ (ઉંમર 39) દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમની ફરિયાદ અનુસાર, સમીરભાઈના ભત્રીજા રોહન દિનેશભાઈ રાઠોડ (ઉંમર.19) પાયોનિયર કોલેજ, વડોદરામાં B.A.M.S.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત આરોપી કોમલ મેડમ અને રુષિકેશ સર (બંને રહેવાસી: પાયોનિયર કોલેજ, આજવા રોડ, વડોદરા) એ શરૂઆતથી જ રોહનને તેની અનુસૂચિત જાતિના આધારે જાતિ આધારિત ભેદભાવ કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓએ રોહનને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. ક્લાસમાં અને અન્ય વિદ્યાર્થીઓની સમક્ષ જાહેરમાં તેનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત, તેનું ભણતરનું આખું વર્ષ બગાડી દેવાની ધમકીઓ પણ આપી હતી. આરોપીઓએ જનરલમાં સહી કરી આપી નહોતી અને જનરલ બુક ફેંકી દીધી હતી. આ સતત અન્યાય, અપમાન અને માનસિક ત્રાસના કારણે રોહનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જેથી રોહને કોલેજના ત્રીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે. વડોદરામાં યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પરિવાર જુનાગઢ લઈ ગયો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. કપુરાઇ પોલીસે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ 1989 સુધારણા 2016 ની કલમ 3(1) (આર) (એસ),3(2)5-એ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54,351(2) મુજબ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ફરિયાદના આધારે બંને આરોપી પ્રોફેસરો સામે કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે. આ ગુનાની તપાસ SC ST સેલના ACP સી.બી.સોલંકી કરી રહ્યા છે. પાયોનિયર કોલેજના આચાર્ય ડૉ. મીતા મશરૂએ જણાવ્યું હતું કે, સ્ટુડન્ટના ગાર્ડિયન દ્વારા અમારા ત્યાં જ કાર્યરત બે એસોસિએટ પ્રોફેસરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મને નથી વાલીઓ તરફથી કે નથી વિદ્યાર્થી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિની ફરિયાદ મળી નથી. મારા ગેટની બહાર મેં સ્પષ્ટ નોટિસ લગાવી છે કે સાંજે 4થી 5 વાગ્યાના સમયમાં કોઈ પણ વિદ્યાર્થી પરવાનગી વગર મને મળી શકે છે, પરંતુ રોહન દ્વારા મને આવી કોઈ જાણ કરવામાં આવી નહોતી. વાલીઓએ ડો. કોમલ દેસાઈ અને ડો. ઋષિકેશ સામે આક્ષેપ કર્યા છે. વાલીઓની રજૂઆત બાદ અમે તાત્કાલિક બંને પ્રોફેસરોને લેટર ઇશ્યૂ કર્યો છે અને 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત, એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે જેને નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. આ ઘટના 10 તારીખની સાંજે બની હતી. અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે વાલીઓ આવ્યા બાદ અમે કમિટીની રચના કરી લીધી છે. કમિટી તેનો રિપોર્ટ સબમિટ કરશે. અમારી સંસ્થા 'ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી' સાથે જોડાયેલી છે. પરીક્ષાના પેપર યુનિવર્સિટીમાંથી આવે છે અને ચેક કરવા માટે પણ ત્યાં જ જાય છે. વાઇવા પરીક્ષામાં પણ બહારના એક્સટર્નલ નિરીક્ષકો આવે છે. એટલે કે, પરીક્ષા અને ગુણ બાબતે સ્થાનિક શિક્ષકોના હાથમાં કંઈ હોતું નથી. રોહન અભ્યાસમાં એક એવરેજ વિદ્યાર્થી હતો. હાલમાં કમિટી તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ અમે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી શકીશું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:51 pm

રાજકોટમાં એસટી બસપોર્ટમાં માત્ર નામ પૂરતી સુવિધા:નવી ઇન્કવાયરી કેબિનમાં ઉદઘોષણા માટેના માઇક જ નથી, મુસાફરો પૂછપરછ કરવા જાય ત્યાં બસ જતી રહે છે !

રાજકોટ એસટી બસપોર્ટ ખાતે માત્ર નામ પૂરતી સુવિધા શરૂ કરાઇ હોય તેવું લાગી રહ્યું છે. એસટી બસપોર્ટની નવી ઇન્કવાયરી કેબિનમાં ઉદઘોષણા માટેના માઇક જ ન હોવાથી બે-પાંચ નહીં 650 ટ્રિપના હજારો મુસાફરો પરેશાન છે. ત્યારે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ એસ.ટી બસપોર્ટ હાલ 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. અગાઉ પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના પ્લેટફોર્મ સામે ઇન્કવાયરી ઓફિસ કાર્યરત હતી. જેથી 14 થી 22 નંબરના પ્લેટફોર્મના મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી ઇન્કવાયરી માટે આવવું પડતુ હતુ. જેથી બસ આવે અને જતી રહે તો પણ મુસાફરો કે ટ્રાફિક કંટ્રોલરને ખબર રહેતી નહીં. મુસાફરોની અગવડતા દૂર કરવા માટે પ્લેટફોર્મ નંબર 17 ની સામે અલાયદી ઇન્કવાયરી કેબીન ઉભી કરવામાં આવી છે. આ કેબિન પરથી સૌરાષ્ટ્ર તરફની 650 ટ્રીપની ઇન્કવાયરી થઈ શકે છે. જેમાં અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા મંડોર, ઝાલોદ, સહિતના રૂટનો સમાવેશ થાય છે. ઈન્કવાયરી કેબીનનું ઉદઘાટન કરાયું પણ માઈકનો અભાવગત તા. 20 જાન્યુઆરીએ ધારાસભ્યો અને એસ.ટી અધિકારીઓ દ્વારા મુસાફરોને સુવિધા આપવા માટે અલાયદી ઇન્કવાયરી વ્યવસ્થા કરવામાં આવેલી તે કેબિનનું પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતુ. જ્યાં 2 ટ્રાફિક કંટ્રોલરને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જોકે કેબિન ઉપરથી ખુલ્લી હોવાથી કબૂતરના ચરક ટ્રાફિક કંટ્રોલર પર અને કેબિનમાં પડવા લાગતા ટ્રાફિક કંટ્રોલરે કેબિન ઉપર પૂઠા ભરાવ્યા અને કેબિનમાં સુવિધાના અભાવના પગલે ઉદઘોષણા માટેના માઇકની વ્યવસ્થા હાલ છે જ નહીં. ડેપો મેનેજર દ્વારા ડેપોમાં મુસાફરોને પડતી દુવિધા અંગે કોઈ દરકાર લેવામાં આવતી જ નથી. જે અંગે રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના નવા ફોરલેન સાંઢીયા પુલનું 88% કામ પૂર્ણ, રેલવેની મંજૂરી મળતા સ્ટીલનાં ગડર મુકવાની પ્રક્રિયા શરૂરાજકોટના જામનગર રોડ પર દાયકાઓ જૂના સાંઢીયા પુલના સ્થાને બની રહેલા નવા ફોરલેન ઓવરબ્રીજનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ પ્રોજેક્ટનું અંદાજે 88 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું 12 ટકા કામ આગામી દોઢ મહિનામાં પૂર્ણ કરી એપ્રિલ 2026ના અંત સુધીમાં બ્રીજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. રૂ. 72 કરોડના ખર્ચે બની રહેલા આ પુલની મૂળ મુદ્દત જૂન 2026 હતી, પરંતુ કામગીરીની ગતિ જોતા તે બે મહિના વહેલો પૂર્ણ થઈ શકે છે. હાલમાં રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનમાં 300 ટનના 7 સ્ટીલ ગર્ડર મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા સેફ્ટી સ્ટાન્ડર્ડની ચકાસણી બાદ ગર્ડર લોન્ચિંગ માટે બ્લોકનો સમય ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ, રેલનગર તરફના ભાગમાં ડામર રોડ અને ડિવાઈડરની કામગીરી પણ પ્રગતિમાં છે. આ પુલ બંધ હોવાને કારણે જામનગર તરફ જતી 200 જેટલી એસટી બસો અને ભારે વાહનોને 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેનાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. એપ્રિલમાં આ બ્રીજ ધમધમતો થતાં માધાપર ચોકડી તેમજ શહેરના મુખ્ય રાજમાર્ગો પરની ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે. ત્યાં સુધી એટલે કે વધુ બે મહિના લોકોને હાડમારી ભોગવવી પડશે. આવતીકાલે જિલ્લા પંચાયતનું બજેટ, સભ્ય ગ્રાન્ટમાં 20% વધારાની દરખાસ્ત રાજકોટ જિલ્લા પંચાયતનું અંદાજે 1100 કરોડનું પૂર્ણ બજેટ આવતીકાલે કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાને રાખીને વર્તમાન શાસકો દ્વારા લોકભોગ્ય યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષે સ્વભંડોળનું કદ 18 કરોડથી વધુ હોવાને કારણે સભ્યોની વિકાસલક્ષી ગ્રાન્ટમાં 20 ટકાનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ વધારા સાથે સભ્યોની ગ્રાન્ટ 30 લાખથી વધીને 36 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, વર્તમાન શાસકોની મુદત એક માસમાં પૂર્ણ થતી હોવાથી, ચૂંટણી બાદ નવા શાસકો આ બજેટમાં ફેરફાર કરી શકશે, પરંતુ હાલ વહીવટદાર શાસન પૂર્વે જ બજેટને આખરી ઓપ આપી દેવા રણનીતિ ઘડાઈ છે. કારોબારી બેઠકના એજન્ડામાં બાંધકામ શાખાની મહત્વની દરખાસ્તોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની 90 જેટલી ગ્રામ પંચાયતોના નવા બિલ્ડિંગ નિર્માણની દરખાસ્ત રજૂ કરાશે, જેને મંજૂરી મળવી નિશ્ચિત મનાય છે. ઉપરાંત સિંચાઈ વિભાગની દરખાસ્તો પ્રમુખસ્થાનેથી રજૂ કરવામાં આવશે. આવતીકાલે કારોબારીમાં રજૂ થયા બાદ આ બજેટ 27મીએ મળનારી સામાન્ય સભામાં અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં લાંબા સમયે અધિક્ષક ડો. મોનાલીની સરપ્રાઈઝ વિઝિટરાજકોટની સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી દર્દીઓની સુવિધા અને વહીવટી પ્રશ્નોને લઈને વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મોનાલી માકડિયા આજે સવારે હોસ્પિટલના ઈમર્જન્સી બિલ્ડિંગની ઓચિંતી તપાસમાં નીકળ્યા હતા. તેમણે ઈમર્જન્સી વિભાગના વિવિધ વોર્ડ અને સેક્શનની રૂબરૂ મુલાકાત લઈને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે કાર્યરત સ્ટાફ સાથે સીધી વાતચીત કરી હતી અને હાજરી તેમજ કામગીરી બાબતે જરૂરી પૂછપરછ કરી હતી. ડો. મોનાલી માકડિયાએ મુલાકાત દરમિયાન PIU વિભાગની કામગીરીમાં થતો વિલંબ અટકાવી તેને ત્વરિત પૂર્ણ કરવા માટે કડક સૂચના આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં સફાઈ જળવાઈ રહે અને બાયોવેસ્ટના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્ટાફને તાકીદ કરવામાં આવી હતી. આ ઓચિંતી તપાસ સમયે RMO ડો. દુમતર તેમજ PIUનો ટેકનિકલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સિવિલ અધિક્ષકની આ સક્રિયતાને પગલે આળસુ સ્ટાફમાં ફફડાટ જોવા મળ્યો હતો. રાજકોટમાં મિશ્ર ઋતુમાં રોગચાળો વકર્યો, લાંબા સમય બાદ ડેંગ્યુ અને કમળાના કેસ નોંધાતા તંત્ર સતર્કરાજકોટમાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. છેલ્લા સપ્તાહમાં કુલ 1270 કેસ નોંધાયા છે, જેમાં ડેંગ્યુના 2, કમળાનો 1, શરદી-ઉધરસના 582, સામાન્ય તાવના 571 અને ઝાડા-ઉલ્ટીના 114 કેસનો સમાવેશ થાય છે. મનપાના આરોગ્ય વિભાગના ચોપડે રોગચાળો 25% ઘટ્યો હોવાનો દાવો કરાયો છે, પરંતુ મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે તાવ અને શરદીના દર્દીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીજન્ય રોગો અટકાવવા 968 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય રોગો રોકવા 12951 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 938 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળી આવતા 146 મિલકતધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રાજકોટના વોર્ડ નં. 18માં ડીઆઈ પાઈપલાઈનના કામ વચ્ચે પાણીનો બેફામ વ્યય, સ્થાનિકો પરેશાનરાજકોટના વોર્ડ નં. 18માં આવેલા શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર નવી DI પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાઈ છે. આ લીકેજને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને રસ્તા પર પાણી ભરાતા ચોકમાં મોટા ખાડા પડી ગયા છે, જેમાં અનેક વાહનો ફસાયા હોવાના કિસ્સા બન્યા છે. શ્રધ્ધાપાર્ક, પારસ ભવનાથ, 80 ફૂટ રોડ અને ગોપવંદન સોસાયટી સહિતના વિસ્તારોમાં રહેતા લોકો આ સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે સ્થાનિક આગેવાન નરેશભાઈ ગઢવીએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ, પાઈપલાઈન જોઈન કરવાની કામગીરી બાદ વારંવાર લીકેજ થાય છે, જેના વિશે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવતો નથી. તંત્ર દ્વારા 'સાહેબ રજા પર છે' તેવા જવાબો આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ માગ કરી છે કે આ પાણીના વ્યયને અટકાવી રસ્તાનું સમારકામ તુરંત કરવામાં આવે જેથી જનતાને પડતી મુશ્કેલીઓનો અંત આવે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:45 pm

ભુજમાં બેફામ દોડતા વાહનો સામે લોકોમાં ભારે આક્રોશ:સ્થાનિકોનો ચક્કાજામ કાર્યક્રમ, હાઈવે પર સ્પીડ બ્રેકરો લગાવવા, ડિવાઇડરના કટ બંધ કરાવવા સહિતની માગ

ભુજની આશ્રમ ચોકડી પાસે બેફામ દોડતા ડમ્પરો અને અન્ય વાહનો સામે સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કરાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં બે યુવાનોના જીવ ગુમાવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાઓ બાદ નવલોહિયા યુવાનોના જીવ જતા જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જીવના જોખમે થતો વિકાસ મંજૂર નથી.પ્રદર્શનકારીઓએ ભુજના બાયપાસ રોડની કામગીરી ઝડપથી શરૂ કરવા, હાઈવે પર સ્પીડ બ્રેકરો લગાવવા, ડિવાઇડરના કટ બંધ કરાવવા અને હાઈવેને સર્વિસ રોડમાં રૂપાંતરિત કરવાની માંગ કરી હતી. આ કાર્યક્રમ તંત્રનું ધ્યાન દોરવા માટે રાખવામાં આવ્યો હતો. ચક્કાજામની જાહેરાત થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટ કરતા સ્થાનિકોએ હાલ પૂરતો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:44 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર મળશે હડકવાની રસી, ટીમ ઇન્ડિયાનું ધમાકેદાર સ્વાગત

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:42 pm

અમદાવાદથી ઉદયપુર સુધી વંદે ભારતની છઠ્ઠી ટ્રેનનો પ્રારંભ:અસારવા સ્ટેશન પર ભવ્ય સ્વાગત, અઠવાડિયાના સાતેય દિવસ મળી રહેશે

અમદાવાદ અને ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદને જોડતી વંદે ભારત એક્સપ્રેસની છઠ્ઠી ટ્રેનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી આ નવી ટ્રેન પ્રથમ દિવસે જ ઉદયપુરથી અસારવા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. આ ટ્રેન તેના નક્કી કરેલા સમય મુજબ અસારવા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. મુસાફરો અને રેલવે અધિકારીઓમાં આ નવા પ્રારંભને લઈને ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેપાર, પર્યટન માટે સતત અવરજવર કરતા મુસાફરો માટે ઉત્તમ વિકલ્પઉદયપુરથી પ્રસ્થાન કરેલી વંદે ભારત ટ્રેન સાડા ચાર કલાકમાં અસારવા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. સમય અનુસાર અને ઝડપી ગતિ માટે જાણીતી વંદે ભારત ટ્રેને ફરી એકવાર પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ નવી ટ્રેન સેવા શરૂ થતા અમદાવાદ અને ઉદયપુર વચ્ચેનું અંતર હવે વધુ સરળ અને સુવિધાજનક બની ગયું છે. વેપાર, પર્યટન અને શૈક્ષણિક હેતુઓ માટે સતત અવરજવર કરતા મુસાફરો માટે આ ટ્રેન એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે. પર્યટન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશેટ્રેનના અસારવા સ્ટેશન પર આગમન સમયે શહેરના મેયર પ્રતિભા જૈન અને સાંસદ દિનેશ મકવાણા હાજર રહ્યા હતા. તેમણે ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું અને રેલવે અધિકારીઓને અભિનંદન પાઠવ્યા. મેયરે જણાવ્યું કે, આ ટ્રેન સેવા શરૂ થવાથી અમદાવાદ અને ઉદયપુર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને પર્યટન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતને સતત નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઝડપી રેલ સેવા મળવાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશેઆ વંદે ભારત ટ્રેન ઉદયપુર સિટી, જાવર, ડુંગરપુર, હિંમતનગર અને અંતે અસારવા રેલવે સ્ટેશન જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાણ કરે છે. આ માર્ગ પર આવેલા શહેરો અને તાલુકાઓને સીધી અને ઝડપી રેલ સેવા મળવાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને હિંમતનગર અને ડુંગરપુર વિસ્તારમાંથી અમદાવાદ અને ઉદયપુર જતા મુસાફરો માટે હવે મુસાફરી વધુ આરામદાયક અને સમયબચતરૂપ બની રહેશે. ટ્રેનમાં એક સાથે આશરે 650 મુસાફરો સવારી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અદ્યતન કોચ, આરામદાયક બેઠકો, સ્વચ્છતા અને સુરક્ષાની ખાસ કાળજી સાથે આ ટ્રેનને ડિઝાઇન કરવામાં આવી છે. મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ સ્તરની યાત્રાનો અનુભવ મળે તે માટે રેલવે વિભાગ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ટ્રેન અઠવાડિયાના સાતેય દિવસ દોડાવવામાં આવશેભાડાની વાત કરીએ તો અમદાવાદથી ઉદયપુર સુધીની મુસાફરી માટે 1065 નક્કી કરવામાં આવ્યા છે. આ ભાડા દરને ધ્યાનમાં લેતા મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી માટે યોગ્ય વિકલ્પ મળી રહ્યો છે. ખાસ કરીને ઉદયપુર ફરવા જતા લોકો માટે આ ટ્રેન સમય અને સુવિધા બંને દૃષ્ટિએ લાભદાયી સાબિત થશે. ખાસ વાત એ છે કે, આ ટ્રેન અઠવાડિયાના સાતેય દિવસ દોડાવવામાં આવશે. એટલે કે મુસાફરોને રોજિંદી અવરજવર માટે સતત અને નિયમિત સેવા મળશે. રોજ દોડતી આ ટ્રેનથી પ્રવાસીઓ માટે આયોજન કરવું વધુ સરળ બનશે. આમ, અમદાવાદથી ઉદયપુર વચ્ચે શરૂ થયેલી વંદે ભારતની આ નવી ટ્રેન સેવા માત્ર રેલવે સુવિધાનો વધારો નથી, પરંતુ લોકો માટે પણ ફરવા જવા માટે એક સરળ ઓપ્શન રહેશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:34 pm

રૂ. 3.21 કરોડની ઉચાપત કેસમાં 3 આરોપીને 3 વર્ષની કેદ:સેંટ ઝેવીયર્સ લોયોલા સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલની બોગસ સહીઓ કરી પૈસાની ઉચાપત કરી હતી

અમદાવાદમાં આવેલી સેંટ ઝેવીયર્સ લોયોલા સ્કૂલમાં 3.21 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ સહિત ત્રણને મેટ્રોકોર્ટે 3-3 વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે શાળામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતી મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ પ્રિન્સિપાલની બોગસ સહીઓ કરી અને વાલીઓ પાસેથી મળેલી રોકડ ફી જમા ન કરાવી કુલ 3.21 કરોડ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું પુરવાર થાય છે, ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય. મહિલા એકાઉન્ટન્ટે બોગસ સહીઓ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતાસેંટ ઝેવીયર્સના પ્રિન્સિપાલ દ્વારા 31 જાન્યુઆરી, 2020ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મનીષા વસાવા છેલ્લા 21 વર્ષથી શાળામાં ક્લાર્ક તરીકે અને છેલ્લા 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતી. શાળાના તમામ હિસાબોની જવાબદારી તેની પાસે હતી. જો કે જ્યારે ઓડિટર દ્વારા હિસાબો માંગવામાં આવ્યા ત્યારે મનીષાએ ગલ્લાતલ્લા કર્યા હતા અને બાદમાં રજાની મંજૂરી લીધા વિના જ શાળાએ આવવાનું બંધ કરી દીધું હતું. શાળાના અન્ય સ્ટાફ દ્વારા તપાસ અને ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મનીષાએ પૂર્વ પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સની બોગસ સહીઓ કરી શાળાના વિવિધ ખાતાઓમાંથી અંદાજે 2.84 કરોડ સુપિયા 'ડીડક્શન ખાતા' માં ટ્રાન્સફર કર્યા હતા. વર્ષ 2018 થી 2020 દરમિયાન વાલીઓ પાસેથી મળેલી અંદાજે 33.65 લાખ સહિતની રોકડ ફી પણ શાળાના ખાતામાં જમા કરાવવાને બદલે ઓળવી જવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરી મહિલા ક્લાર્ક મનિષા વસાવા, ધીરેન અધિકારી તથા જયેશ વસાવાની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. ત્રણેય આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની કેદઆ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે એડવોકેટ શ્રીધર દેરાસરી હાજર રહ્યાં હતા. જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આખોય કેસ નિશંક પણે પુરવાર થાય છે, આરોપીઓને સાક્ષી સહિતના પક્ષકારોએ ઓળખી બતાવ્યા છે, ગંભીર પ્રકારનો ગુનો છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે ત્રણે આરોપીઓને દોષિત ઠેરવી 3-3 વર્ષ કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ઓડિટરે કરેલા ઓડિટમાં શાળાના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના જુદા-જુદા પાંચ ખાતામાંથી સમયાંતરે 2.84 કરોડની રકમ મનિષાએ શાળાની જાણ બહાર RTGSથી તથા ચેક થકી ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે-તે સમયે શાળાના આચાર્ય તરીકે ફાધર ચાર્લ્સ અરુલદાસ ફરજ બજાવતા હોવાથી તેમને પૂછતાં તેમણે આ પ્રકારના કોઈ ચેકમાં સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2018-2019માં વાલીઓએ રોકડમાં ચૂકવેલી શાળાની ફી ~ 13.50 લાખ તથા વર્ષ 2019-2020ની 20.15 લાખની રોકડ રકમ પણ શાળાના ખાતામાં જમા કરાવવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તપાસમાં એવી વિગત પણ ખૂલી હતી કે ઝેવિયર્સ શાળાની ચેકબુક મનિષા ઘરે લઈ જઇ પતિ ધીરેનને આપતી હતી ત્યારબાદ તેઓ પૈસા ઉપાડી લેતા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:32 pm

કોંગ્રેસનું શક્તિપ્રદર્શન:બજેટ સત્ર વચ્ચે સત્યાગ્રહ છાવણી ખાતે જન આક્રોશ સભા ગજવી, 2027માં સત્તા પરિવર્તનનો હુંકાર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના માહોલ વચ્ચે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે સરકાર સામે જંગનું એલાન કર્યું છે. સભામાં ઉપસ્થિત દિગ્ગજ નેતાઓએ ભાજપના ત્રણ દાયકાના શાસનને અંગ્રેજોના શાસન સાથે સરખાવી આકરા પ્રહારો કર્યા હતા. અમે ગામડે-ગામડે જઈને લોકોની વેદના અને વાસ્તવિક સમસ્યાઓ સાંભળીઆ સભાના પ્રારંભે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે આ આંદોલન માત્ર સભા પૂરતું મર્યાદિત નથી. પરંતુ જનતાના અવાજને વિધાનસભાના ગૃહ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ આંદોલનની શરૂઆત બનાસકાંઠાની ધરતી પરથી થઈ હતી. અત્યાર સુધીમાં કોંગ્રેસે ગુજરાતમાં અંદાજે 5,000 કિલોમીટરનું ભ્રમણ પૂર્ણ કર્યું છે. અમે ગામડે-ગામડે જઈને લોકોની વેદના અને વાસ્તવિક સમસ્યાઓ સાંભળી છે. તેમણે ખાતરી આપી હતી કે જનતાનો આ આક્રોશ હવે વિધાનસભા સંકુલની અંદર પણ ગુંજશે અને વિપક્ષ મજબૂતીથી લોકોના પ્રશ્નો ઉઠાવશે. અધિકાર મેળવવા માટે આજે પણ જનતાએ આંદોલન અને ઉપવાસ કરવા પડે છેકોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં સરકારે માત્ર ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે. સાડા છ કરોડની જનતાના પરસેવાના પૈસાથી તિજોરીઓ ભરાય છે છતાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે કોઈ નક્કર કામ થયું નથી. અધિકાર મેળવવા માટે આજે પણ જનતાએ આંદોલન અને ઉપવાસ કરવા પડે છે, જે લોકશાહી માટે શરમજનક છે. સંવિધાન ખતમ કરવાની વાત કરનારી આ સરકારને ઉખાડી ફેંકવાનો સમય પાકી ગયોજ્યારે કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી સમાજ અને જળ,જંગલ,જમીનના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં હજુ પણ પાણીની સમસ્યા છે. સંવિધાન ખતમ કરવાની વાત કરનારી આ સરકારને ઉખાડી ફેંકવાનો સમય પાકી ગયો છે. દરરોજ અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરીસભાના અંતે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 2027ની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 21 નવેમ્બરથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રાનો પ્રથમ તબક્કો ઉત્તર ગુજરાતમાં બહુચરાજી ખાતે સમાપ્ત થશે. કોંગ્રેસે આગામી દિવસોમાં બજેટ સત્ર દરમિયાન દરરોજ અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:29 pm

સિલિકોસિસગ્રસ્ત શ્રમિકો માટે હાઈકોર્ટમાં સુનાવણી:કોમ્પ્રિહેન્સિવ પોલિસીની માગ કરતા સરકારી વકીલે 22 સરકારી યોજનાઓ જણાવી

ગુજરાત હાઇકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. જેને સુપ્રીમના હુકમ મુજબ સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર ચૂકવવા અને સારવાર માટે પોલિસી બનાવવા માંગ કરી છે. સિલિકોસીસગ્રસ્ત શ્રમિકો માટે પોલિસીની માગ કરતા સરકારી વકીલે 22 સરકારી યોજનાઓ જણાવીઆ અરજી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. જેમાં અરજદારો દ્વારા સિલિકોસીસગ્રસ્ત શ્રમિકો માટે હરિયાણા જેવા રાજ્યની જેમ કોમ્પ્રીહેન્સીવ પોલિસી બનાવવા માંગ કરવામાં આવી હતી. જેમાં મહિનાનું પેન્શન, ભણતર, લગ્ન વગેરે બાબતોએ સહાયનો સમાવેશ થઈ જાય. આ બાબતે સરકારી વકીલે જણાવ્યું હતું કે, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના, ફેર લગ્ન માટે યોજના વગેરે 22 પ્રકારની સરકારી યોજનાઓ છે. હાઇકોર્ટે સરકારને કોમ્પ્રીએન્સી પોલિસી બનાવવા સૂચન કર્યું હતુંકોર્ટે કહ્યું હતું કે, આ તો અલગ-અલગ અરજીઓ છે. 22 સ્કીમ માટે 22 અરજી કરાય નહીં, એક સિંગલ વિંડો સિસ્ટમ રાખો. અરજદારે અરજી ફોર્મમાં પથ્થરના પ્રકારને આધારે તે ક્ષેત્રમાં કામ કરતા લોકોને સહાય મળેશે કે નહીં એવું નક્કી કરતા મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી, હાઇકોર્ટે સરકારને એ કોમ્પ્રીએન્સી પોલિસી બનાવી તેને પબ્લિશ કરવા માટે સૂચન કર્યું હતું. અગાઉની સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 3 લાખ રૂપિયા સુધીની સહાય કરવામા આવશે. તેમની તપાસ અને સારવારની ખર્ચો આપવામાં આવશે. દવાઓ માટે મહિને 1500 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે. અસરગ્રસ્ત શ્રમિકે મદદ મેળવવા માટે લેબર કમિશનર અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી સમક્ષ અરજી કરવી પડશે. તેના મેડિકલ ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:18 pm

લગ્નપ્રસંગના જમણવારમાં જંગલના રાજાની એન્ટ્રી, VIDEO:મંડપ નીચે ભોજનના કાઉન્ટર આસપાસ આંટાફેરા કર્યા,સિંહ પરિવાર જાણે ભોજન સમારંભમાં પધાર્યો હોય તેવા દૃશ્યો

જૂનાગઢના પ્લાસવા ગામે યોજાયેલા લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં એક સિંહ પરિવારે પહોંચી મંડપ નીચે આંટાફેરા કર્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ભોજન સમારંભના મંડપ નીચે કાઉન્ટર આસપાસ સિંહ પરિવાર આંટાફેરા કરતો જોવા મળી રહ્યો છે. સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ​જુનાગઢના પ્લાસવા ગામ નજીક આવેલા આયોજિત પ્રસંગમાં અચરજ ફેલાઈ ગયું જ્યારે જમણવારની તૈયારીઓ વચ્ચે સિંહ પરિવાર વગર આમંત્રણે મહેમાન બનીને પહોંચી ગયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ અદભૂત વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં મહેમાનો માટે ભોજન પીરસવા માટેના ટેબલો ગોઠવાયેલા છે અને ભોજન તૈયાર છે, બરાબર તે જ મંડપ નીચે સિંહ પરિવાર પોતાની ઠાઠથી આંટાફેરા મારી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ સિંહોની આ સહજ અવરજવરને કેટલાક ઉત્સાહી લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે ત્રણથી વધુ સિંહો મંડપની નીચે અને આસપાસ ફરતા જોવા મળે છે, જે જાણે જમણવારના પ્રસંગની શોભા વધારવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંડપમાં લાઈટ હોવા છતા સિંહ પહોંચી જતા આશ્ચર્ય​આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે સિંહો માનવ વસ્તી કે લાઈટિંગથી ડર્યા વગર ખૂબ જ શાંતિથી મંડપની નીચે ફરી રહ્યા હતા. એક તરફ ટેબલ પર ભોજન પડેલું હતું, તો બીજી તરફ અંધારામાં મંડપની બિલકુલ સામે જ સિંહ પરિવારના અન્ય સભ્યો આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. પ્લાસવાના પાટીયા પાસે આવેલા આ પ્લોટમાં જે પ્રકારે સિંહ પરિવાર સહકુટુંબ પહોંચ્યો, તેને જોઈને સ્થાનિકોમાં એવી ચર્ચા જાગી છે કે જાણે સિંહો ભોજન સમારંભના આમંત્રણને માન આપીને પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હોય. સિંહોની આ શાહી સવારીએ આખા પ્રસંગને એક રોમાંચક વળાંક આપી દીધો હતો. ગીરનાર જંગલ આસપાસ 54થી વધુ સિંહનો વસવાટ​ગીરનારના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોનો વસવાટ હવે માત્ર જંગલ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ગીરનાર જંગલ વિસ્તારમાં હાલ 54 થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે અને શિકારની શોધમાં તેઓ અવારનવાર રહેણાંક કે રેવન્યુ વિસ્તારમાં આવી ચઢતા હોય છે. જુનાગઢની આસપાસના ડુંગરપુર, ઈવનગર, બીલખા અને પ્લાસવા જેવા ગામોમાં સિંહોની હાજરી હવે સામાન્ય બની ગઈ છે. આ વિસ્તારોમાં અગાઉ પણ સિંહો રસ્તા પર કે સોસાયટીઓમાં આંટાફેરા મારતા હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે, પરંતુ જમણવારના મંડપમાં આ રીતે સિંહોનું આગમન કદાચ પ્રથમ અને અનોખી ઘટના છે. આ વિસ્તારમાં સિંહોનો વારંવારનો જમાવડો જોખમી પણ સાબિત થઈ શકે છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે અથવા સિંહો માનવ વસ્તીમાં લાંબો સમય રોકાય છે, ત્યારે વન વિભાગને તુરંત જાણ કરવામાં આવતી હોય છે. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સિંહોની હિલચાલ પર નજર રાખે છે અને અન્ય સુરક્ષિત પદ્ધતિઓ દ્વારા સિંહોને વસ્તીથી દૂર જંગલના સલામત વિસ્તારોમાં ખસેડવાની કામગીરી કરે છે.ગીરનારની જંગલમાં વસતા આ સિંહો હવે માનવ પગરવથી ટેવાઈ ગયા હોય તેમ લાગે છે, જેના કારણે તેઓ નિર્ભય બનીને રેવન્યુ વિસ્તારોમાં વિચરણ કરે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:08 pm

ભરૂચના આરવ પટેલે રાજ્ય કક્ષાએ સ્કેટિંગમાં સિલ્વર મેડલ જીત્યો:યુવા સ્કેટરે 500 મીટર રિંક અને રોડ રેસ ઇવેન્ટમાં શાનદાર દેખાવ કર્યો

ભરૂચના યુવા સ્કેટર આરવ ડેક્ષટર પટેલે રાજ્ય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને સેન્ટ ઝેવિયર્સ સ્કેટિંગ રિંક ખાતે તાલીમ લેતા આરવે તા. 13 થી 15 ફેબ્રુઆરી, 2026 દરમિયાન બરોડા ડિસ્ટ્રિક્ટ સ્કેટિંગ એસોસિએશન દ્વારા ઉન્નતિ સ્કેટિંગ રિંક, વડોદરા ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. આરવે 'અબાઉ 15 ક્વૉડ બોયઝ' વિભાગ હેઠળ 500 મીટર રિંક રેસ અને રોડ રેસ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ આરવના કોચ ઓસ્કર જયંત અલફાન્સોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આરવમાં અદભુત પ્રતિભા છે અને ભવિષ્યમાં તે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભરૂચ અને ભારત દેશનું નામ રોશન કરશે તેવી પૂરી આશા છે. ઉલ્લેખનીય છે કે, આરવે અગાઉ પણ તા. 6 થી 10 નવેમ્બર, 2026 દરમિયાન અમદાવાદની ડીપીએસ સ્કૂલ, બોપલ ખાતે યોજાયેલી 45મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં રોડ રેસ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીતી પોતાની કાબેલિયત સાબિત કરી હતી. આરવની સતત મળતી સફળતાઓને કારણે ભરૂચના રમતગમત વર્તુળો તેમજ શિક્ષણજગતમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વરસી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:03 pm

ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ હિંમતનગર પહોંચી:સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, સપ્તાહમાં છ દિવસ હાઈસ્પીડ ટ્રેન દોડશે

ગુજરાતને સોમવારથી 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાની ભેટ મળી છે. ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું હિંમતનગર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ લીલી ઝંડી આપી ટ્રેનને અમદાવાદ (અસારવા) માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ટ્રેનના લોકો પાયલટનું મોં મીઠું કરાવી અભિવાદન કર્યું હતું. પદધારીઓની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં રેલવેના DRM વેદ પ્રકાશ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રમીલા બારૈયા, મયંક નાયક, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, શામળાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેનઉદયપુર અને અસારવા વચ્ચે દોડનારી આ હાઈસ્પીડ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સેવા આપશે. આ ટ્રેનની નિયમિત સેવા બુધવારથી શરૂ થશે. ટ્રેનનો સમય અસારવાથી પ્રસ્થાન: સાંજે 17:45 વાગ્યે (ઉદયપુર પહોંચશે રાત્રે 22:00 વાગ્યે) ઉદયપુરથી પ્રસ્થાન: સવારે 06:00 વાગ્યે (હિંમતનગર પહોંચશે સવારે 10:25 વાગ્યે) સ્થાનિકોમાં ખુશીનો માહોલસાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો માટે આ ટ્રેન સેવા શરૂ થતા લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું છે. સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી હિંમતનગર સ્ટોપેજ સાથે આ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન શરૂ થવાથી ઉત્તર ગુજરાતના પ્રવાસીઓને આધુનિક સુવિધા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થતા આગામી સમયમાં આ વિસ્તારને હજુ વધુ રેલવે સુવિધાઓ મળે તેવી અપેક્ષા છે. તેમણે સ્થાનિક જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 6:00 pm

ચિરાગ ગોટીને ઘેરી સુરતીઓનો ટપલી દાવ, પોલીસે માંડ જીવ બચાવ્યો:રિકન્સ્ટ્રક્શનમાં નરાધમને ફાંસી આપોના બેનર, લોકોએ ઢોલ વગાડી આરોપીના ઘર સામે ફટાકડા ફોડ્યા

સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો. તો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ માનવ્યો હતો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગરા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચિરાગ ગોટીને કડક સજા અને ફાંસી આપવા માગરિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. 'તાલિબાની' સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખસની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી હતી. ડ્રગ્સ પ્લાન્ટ, અપહરણ, ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપોચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ, ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે. તેના અત્યાચારના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તેણે શરણે થવું પડ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી. ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો દ્વારા ઢોલ-નગારા સાથેની આ અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકોએ ઉશ્કેરાઈને ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતોઆ ઘટના ખરેખર આશ્ચર્યજનક અને અરાજકતાભરી કહી શકાય, જેમાં પોલીસની પ્રત્યક્ષ હાજરી હોવા છતાં ભીડ બેકાબૂ બની હતી. ચિરાગ ગોટી પર થયેલા આ હુમલામાં લોકોએ ઉશ્કેરાઈને જાહેરમાં 'ટપલી દાવ' કર્યો હતો. જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સુરક્ષાકર્મીઓની વચ્ચે જ આ પ્રકારની ખેંચતાણ અને ઝપાઝપી થવી એ દર્શાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો ચરમસીમાએ હતો. ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી જ્યારે પોલીસની ગાડીમાંથી ઉતર્યો તે દરમિયાન તેના કપડાં ફાટેલા જોવા મળ્યા હતા. માથા પર પિસ્તોલ તાકી ગોટી કહેતો 'આ સગી નહીં થાય', સુરતમાં પોતાના ઘરને જ બનાવ્યું 'ટોર્ચર હાઉસ'ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર કરનારા નામચીન ચિરાગ ગોટીના આતંકના વધુ કારસ્તાનો ચર્ચાને ચગડોળે ચઢ્યા છે. ઉપરાછાપરી વીડિયો વાયરલ થતા જ ગોટીના પાપનો ઘડો ફૂટી ગયો હતો. પોતાની પાસે રહેલી પિસ્તોલથી ઘરે બોલાવી ટોર્ચર કરનારા ગોટીના એક પછી એક કમકમાટીભર્યા કારનામાએ સોપો પાડી દીધો છે. કાયદાને ખિસ્સામાં લઈને ફરતા ગોટીએ રિવોલ્વરની અણીએ ઉઘરાણી કરવા માટે આતંકનો જે પરચો આપ્યો છે. તેના લાઈવ વીડિયો જ તેના માટે કાળ બન્યા છે. પોલીસ તેની સામે ગાળિયો કસવા સજ્જ થઈ છે. ત્યારે સુરત શહેરના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં વધુ બે ફરિયાદ ચિરાગ ગોટી સામે નોંધાય છે. જેમાં પણ તેણે પિસ્તોલની અણીએ એક પાસેથી 47 લાખ અને બીજા પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:59 pm

દાહોદની શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરી ગુજરાતી વ્યાકરણની ડિજિટલ ગેમ્સ:DIET ખાતે યોજાયેલા ઇનોવેશન ફેરમાં દેસાઈવાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નવતર પ્રયોગ

વર્તમાન યુગ ટેકનોલોજીનો છે અને શિક્ષણ ક્ષેત્રે પણ હવે ડિજિટલ ક્રાંતિ અનિવાર્ય બની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) માં પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિઝનને સાકાર કરવા દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષિકા નીલમ જાદવ દ્વારા એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના વ્યવહારિક વ્યાકરણને લગતી ખાસ 'ડિજિટલ ગેમ્સ' તૈયાર કરી છે, જે તાજેતરમાં દાહોદ DIET ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભાષામાં વ્યાકરણ શીખવું કંટાળાજનક અને અઘરું લાગતું હોય છે. સંજ્ઞા, વિશેષણ, સંધિ કે સમાસ જેવી સંકલ્પનાઓ ગોખવાને બદલે સમજવી જરૂરી છે. નીલમબેને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગેમિફિકેશનનો સહારો લીધો છે. તેમણે તૈયાર કરેલી ડિજિટલ ગેમ્સમાં વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપીને પોઈન્ટ્સ મેળવે છે અને આગળના લેવલ પર પહોંચે છે. આ પ્રક્રિયામાં બાળકને ભણવાનો ભાર લાગતો નથી, પરંતુ એક રમત રમતા હોય તેવો આનંદ મળે છે. શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ્ય 'અધ્યયન નિષ્પત્તિ' (Learning Outcomes) સિદ્ધ કરવાનો હોય છે. આ ડિજિટલ પ્રયોગ દ્વારા દેસાઈવાડા શાળાના વિદ્યાર્થીઓમાં ગુજરાતી વ્યાકરણ પ્રત્યેની રુચિ વધી છે. જ્યારે બાળક મોબાઈલ કે ટેબલેટ પર વ્યાકરણ આધારિત ક્વિઝ કે ગેમ રમે છે, ત્યારે તેની તર્કશક્તિ ખીલે છે. આ પદ્ધતિથી અઘરા મુદ્દાઓ પણ લાંબા સમય સુધી યાદ રહે છે, જે પરંપરાગત ચોક-એન્ડ-ટોક પદ્ધતિ કરતા વધુ અસરકારક સાબિત થઈ રહી છે. શાળામાં લેવાતી સાપ્તાહિક એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓના પરિણામોમાં આ પ્રયોગ બાદ મોટો ઉછાળો જોવા મળ્યો છે. વ્યાકરણ વિભાગમાં જ્યાં બાળકો અગાઉ ગુણ ગુમાવતા હતા, ત્યાં હવે તેઓ પૂરા માર્કસ મેળવી રહ્યા છે. નીલમબેન જણાવે છે કે, ડિજિટલ ગેમ્સ દ્વારા વિદ્યાર્થીઓ વારંવાર પ્રેક્ટિસ કરી શકે છે, જેનાથી તેમની ભૂલો સુધરે છે અને આત્મવિશ્વાસ વધે છે. આ પ્રયોગ માત્ર શાળાકીય પરીક્ષાઓ પૂરતો મર્યાદિત નથી. ભવિષ્યમાં જ્યારે આ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશે, ત્યારે ગુજરાતી વ્યાકરણનો પાયો ખૂબ જ કામ આવશે. પ્રાથમિક સ્તરે જ ડિજિટલ માધ્યમથી વ્યાકરણ પાકું થવાને કારણે બાળકોને પાયાનું જ્ઞાન સચોટ મળે છે. DIET ખાતે ઉપસ્થિત રહેલા કેળવણીકારોએ પણ આ નવતર પ્રયોગને બિરદાવતા કહ્યું હતું કે આવા પ્રયોગો અન્ય શાળાઓમાં પણ અમલી બનવા જોઈએ. નીલમબેન જાદવનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો શિક્ષક ઉત્સાહી હોય તો સરકારી શાળાના બાળકોને પણ વિશ્વસ્તરીય ટેકનોલોજીનો લાભ મળી શકે છે. તેમણે સ્વપ્રયત્ને આ ગેમ્સ ડિઝાઇન કરી છે, જેમાં ઓડિયો-વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દાહોદ જિલ્લાની અન્ય પ્રાથમિક શાળાઓ માટે પણ એક દિશાસૂચક બન્યો છે, જે દર્શાવે છે કે 'સ્માર્ટ ક્લાસ' નો સાચો ઉપયોગ કેવી રીતે થઈ શકે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:59 pm

નવસારીના પિતા-પુત્રએ પાવર લિફ્ટિંગમાં મેડલ જીત્યા:સ્ટેટ ચેમ્પિયનશિપમાં પોલીસકર્મીને ગોલ્ડ, પુત્રને બે સિલ્વર મેડલ

સુરત ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026માં નવસારીના પિતા-પુત્રની જોડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ સિસોદિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે તેમના 14 વર્ષીય પુત્ર કૃતાર્થસિંહે બે સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. 41 વર્ષીય દિગ્વિજયસિંહ વિનોદસિંહ સિસોદિયાએ માસ્ટર-વન કેટેગરીમાં 90 થી 100 કિલો વજન વર્ગમાં ભાગ લીધો હતો. તેમણે ફુલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, તેમણે બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ જેવી મુખ્ય કેટેગરીમાં પણ પ્રથમ ક્રમ હાંસલ કરી અનેક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. પિતાના પગલે ચાલીને, 14 વર્ષીય કૃતાર્થસિંહ દિગ્વિજયસિંહ સિસોદિયાએ પણ રમતગમત પ્રત્યેનો પોતાનો જુસ્સો દર્શાવ્યો. તેણે બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ઇવેન્ટમાં ભાગ લઈને બે સિલ્વર મેડલ જીત્યા હતા. પિતા-પુત્રની આ જોડીએ રમતગમત પ્રત્યેનો લગાવ અને ફિટનેસ પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક પોલીસ કર્મી તરીકે પોતાની ફરજ બજાવવાની સાથે સ્પોર્ટ્સમાં આટલી મોટી સિદ્ધિ મેળવવા બદલ દિગ્વિજયસિંહ અને તેમના પુત્ર પર નવસારીવાસીઓ અને પોલીસ વિભાગ દ્વારા અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:58 pm

ધારાસભ્ય હેમંત ખવા બજેટ સત્રમાં લોકપ્રશ્નો રજૂ કરશે:જામજોધપુર-લાલપુર વિસ્તારના બાકી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયુ છે. જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવા આ સત્રમાં લોકહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરશે. સત્ર દરમિયાન, તેઓ 16 ફેબ્રુઆરી, 2026 થી 25 માર્ચ, 2026 સુધી ગાંધીનગર વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. આ કારણે તેઓ જામજોધપુર અને લાલપુર કાર્યાલય ખાતે ઉપલબ્ધ રહેશે નહીં. ગત વર્ષના બજેટ સત્રમાં પણ ધારાસભ્ય ખવાએ તેમના મતવિસ્તારના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં જામજોધપુરમાં નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ખેડૂતો માટે સિંચાઈનું પાણી, નવા ડેમ, કાચી કેનાલોને પાકી કરવી, ખરાબ રસ્તાઓ અને નવા બ્રિજ મંજૂર કરાવવાનો સમાવેશ થાય છે. તેમના પ્રયાસોથી મોટાભાગના રોડ-રસ્તાઓ, જરૂરી નવા બ્રિજ અને જામજોધપુર ખાતે નવી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરાવવામાં સફળતા મળી હતી. આજથી શરૂ થતા બજેટ સત્રમાં હેમંત ખવા જામજોધપુર-લાલપુર પંથકના બાકી રહેલા પ્રશ્નોને ફરી એકવાર વિધાનસભામાં રજૂ કરશે. મુખ્યત્વે, પવનચક્કી અને વીજલાઈનો પસાર કરતી કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે થતી દાદાગીરી, નવા ડેમોનું નિર્માણ, સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ખેડૂતો સંબંધિત અન્ય અનેક મુદ્દાઓ ગૃહમાં ઉઠાવવામાં આવશે. વિધાનસભાના ફ્લોર પર આ પ્રશ્નોની ચર્ચા માટે ધારાસભ્ય હેમંત ખવા ગાંધીનગરમાં હાજર રહેશે. આથી, તેઓ 16 ફેબ્રુઆરી, 2026 થી 25 માર્ચ, 2026 દરમિયાન તેમના મતવિસ્તારના કાર્યાલય ખાતે મળી શકશે નહીં. જોકે, જામજોધપુર કાર્યાલય (મો.નં. ૯૭૨૬૭૧૦૪૦૩) અને લાલપુર કાર્યાલય (મો.નં. ૯૫૩૭૯૧૦૪૦૩) રાબેતા મુજબ ચાલુ રહેશે. ધારાસભ્યના કાર્યાલય દ્વારા આ અંગેની યાદી જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:55 pm

મહિલાએ ગાળામાં હાથ નાંખતા ચેન ગાયબ:વડોદરામાં શિવજી કી સવારી જોવા ઉભેલા પોસ્ટ કર્મચારીના પત્નીના ગળામાંથી સોનાની ચેનની ચોરી, ભીડનો લાભ લઈને ગઠીયો ચેન લઈને ભાગી છૂટ્યો

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને પોસ્ટમાં નોકરી કરતા કર્મચારીના પત્ની મહાશિવરાત્રી નિમિત્તે ભગવાનની શોભાયાત્રા જોવા માટે ઉભા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડનો લાભ લઈને ગઠિયાએ મહિલાના ગળામાંથી 1.45 લાખ રૂપિયાની સોનાની ચેન હાથ ચાલાકીથી તેમની નજર ચૂકવીને લઈ લીધી હતી. મહિલાએ પતિ સાથે મળી ચેનની શોધખોળ કરી પરંતુ નહીં મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ સુરેન્દ્રનગરના અને હાલ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી સુશીલ કુમાર સોસાયટીમાં રહેતા મનીષાબેન પંકજકુમાર સોલંકી (ઉ..31)ના પતિ પંકજભાઈ ભારતીય ડાક વિભાગમાં પ્રતાપગંજ ખાતે શોર્ટિંગ આસીસટન્ટ તરીકે નોકરી કરે છે. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી તહેવાર નિમીતે નિકળનાર ભગવાન શીવજીની ભવ્ય શોભાયાત્રાના દર્શન માટે 4.15 વાગ્યાની આસપાસ મહિલા તેમના પતિ પંકજ અને દિકરી સાથે નાની શાક માર્કેટ નંદલાલ કચોરી પાસે મોપેડ પાર્ક કરી શીવજીની સવારી જોવા માટે ઉભા રહ્યા હતા. શીવજીની શોભાયાત્રાના દર્શન કરી આશરે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા. મહિલા અને મોપેડ જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં ગયા હતા ત્યારેમહિલાએ તેમના ગળા પર હાથ ફેરવ્યો હતો. ત્યારે તેમણે પહેરેલી સોનાની ચેઇન જણાઈ આવી નહોતી, જેની જાણ તેઓએ તેમના પતિને કરતા પતિ પત્નીએ નંદલાલ કચોરી તથા દર્શન કરવા ઉભેલા હતા તે જગ્યા પર જઈ તપાસ કરી હતી તથા મારા પતિએ તેમના મીત્ર દિપક માળીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યાર બાદ તેઓએ આજુબાજુ તપાસ કરી હતી પરંતુ મહિલાએ પહેરેલી સોનાની મેઇન મળી આવી ન હતી, જેથી શોભાયાત્રાના દર્શન કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ ગઠિયાએ ભીડનો લાભ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આશરે 17 ગ્રામની કિ.રૂ. 1.45 લાખ સવારીના દર્શન નજર ચુકવી કોઈ સરકાવી લીધી હતી, જેથી ફતેગંજ પોલીસ દ્વારા ગઠિયાની શોધખોળ હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:52 pm

ગોધરા રેલવે ગળનાળામાં ગંદકીથી રાહત મળી:રેલવે વિભાગે ટ્રેક નીચે પતરા લગાવી સમસ્યા હલ કરી

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા રેલવે અંડરપાસ નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ગંદકીની સમસ્યામાંથી રાહત મળી છે. રેલવે વિભાગે ટ્રેક નીચે પતરા બેસાડીને વર્ષો જૂની આ સમસ્યાનો અંત લાવ્યો છે. આ ગળનાળામાંથી દરરોજ હજારો લોકો, જેમાં શિમલા કબાડી માર્કેટના વેપારીઓ પણ સામેલ છે, પસાર થાય છે. ઉપરથી પસાર થતી ટ્રેનોના શૌચાલયમાંથી પડતા મળ-મૂત્ર અને ગંદા પાણીના છાંટા નીચેથી પસાર થતા લોકો પર પડતા હતા, જેના કારણે ભારે અગવડતા થતી હતી. સ્થાનિકોની વારંવારની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, રેલવે તંત્ર દ્વારા રેલવે ટ્રેકની નીચે લોખંડના પતરાનું ફિટિંગ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાને કારણે હવે ઉપરથી પડતી ગંદકી સીધી નીચે લોકો પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, આ મુંબઈ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન છે. આ રૂટ પરથી દિવસ-રાત રાજધાની, શતાબ્દી અને મેમુ સહિતની પ્રીમિયમ તથા એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનોની સતત અવરજવર રહે છે, જેના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:42 pm

હાર્દિક-સૂર્યાના નામની બૂમો પડી:પાકિસ્તાનને ભોં ભેગી કરનારી ટીમ ઇન્ડિયાનું અમદાવાદ સ્વાગત, 18મીએ મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે જંગ

ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ગઈ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમને અમદાવાદ એરપોર્ટ પર ચાહકોએ ક્રિકેટ પ્રેમીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટીમ ITC નર્મદા હોટેલ ખાતે રોકાશે અને આગામી 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે રોમાંચક મુકાબલો રમશે. ચાહકોએ ક્રિકેટરોના નામોની બૂમો પાડીને તેમનું સ્વાગત કર્યું પાકિસ્તાન સામેની મેચમાં મળેલી ભવ્ય જીત બાદ ભારતીય ટીમનું મનોબળ આકાશને આંબી ગયું છે. ગઈકાલે ચાહકોએ “ભારત માતા કી જય” અને “ઇન્ડિયા ઝિન્દાબાદ”ના નારા લગાવીને જીતની ઉજવણી કરી હતી. આજે ભારતીય ટીમના ખેલાડીઓ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ચાહકોએ ક્રિકેટરોના નામોની બૂમો પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યો ચાહકો સાથે થોડીવાર વાતચીત કરીને હોટેલ તરફ રવાના થયા હતા. ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS નેધરલેન્ડ વચ્ચેની મેચને લઈને અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની જીતને યાદ કરતાં જણાવ્યું હતું કે, ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ચાહકો પણ આ મેચને લઈને ઉત્સાહિત છે અને સ્ટેડિયમમાં ભારતીય ટીમને પૂરો સપોર્ટ આપવા તૈયાર છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ખાસ રહેશે આ મેચ ભારતીય ટીમ માટે સુપર-8 તરફના પગલાંમાં મહત્વની સાબિત થશે. નેધરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ગ્રુપ સ્ટેજમાં મજબૂત સ્થાન મેળવવા માગે છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ખાસ રહેશે અને સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:37 pm

ધાનપુરની શાળાએ એજ્યુકેશનલ ફેસ્ટીવલમાં પ્રથમ સ્થાન મેળવ્યું:દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું, 'સમયદાન' ઇનોવેશનને સન્માન

મધ્ય ઝોન કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાએ પ્રીપેટરી વિભાગ (ધોરણ 3 થી 5) માં પ્રથમ ક્રમાંક મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ ફેસ્ટીવલ 9, 10 અને 11 ફેબ્રુઆરી 2026 દરમિયાન આણંદના નોલેજ કેમ્પસ, વિદ્યાનગર ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના 7 જિલ્લાના ઇનોવેટર શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના મુખ્ય શિક્ષક ભારતસિંહ રાઠવાએ સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ શીર્ષક હેઠળ રજૂ કરેલા ઇનોવેશનને પ્રીપેટરી વિભાગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આ ઇનોવેશન 2017થી અમલમાં છે, જેમાં શાળા સમય પહેલાં, પછી અને રજાના દિવસોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમયદાન આપવામાં આવે છે. આ ઇનોવેશનના પરિણામે શાળામાં નોંધપાત્ર વિકાસ થયો છે. ઇનોવેશન પહેલાં શાળાની નોંધણી સંખ્યા 63 હતી, જે હવે વધીને 117 થઈ છે. વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 92% સુધી પહોંચી છે.શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તાલુકા કક્ષાએ 122, જિલ્લા કક્ષાએ 71 અને રાજ્ય કક્ષાએ 9 ખેલાડીઓ વિજેતા બન્યા છે, જેમને કુલ રૂ. 6,44,400નું રોકડ પુરસ્કાર મળ્યું છે. એક ખેલાડીએ લાંબીકૂદ અને ઊંચીકૂદમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે, જ્યારે 17 વિદ્યાર્થીઓ DLSSમાં પસંદ થયા છે. ઇનોવેશન પછીના તમામ ગુણોત્સવમાં શાળાએ A+ ગ્રેડ મેળવ્યો છે અને 2024-25ના ગુણોત્સવમાં 89.5% સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા પરિસરમાં હાલ 220 જેટલા વૃક્ષો છે, જેમાં 13 પ્રકારના ફળોના ઝાડ ફળ આપતા થયા છે. 20 વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં મેરીટમાં આવી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. લોકભાગીદારીથી રૂ. 6,10,770 જેટલી રકમ પણ પ્રાપ્ત થઈ છે. મુખ્ય શિક્ષક ભારતસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, શાળા સમય પહેલાં અને પછી તેમજ રજાના દિવસોમાં સમયદાન કરવામાં આવે તો શાળાનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. આનાથી વિદ્યાર્થીઓનું મૂલ્યલક્ષી ઘડતર થાય છે અને તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:35 pm

ઝુંપડપટ્ટીના રહીશોએ રજુઆત કરાઈ:ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ઝુંપડપટ્ટીના રહીશોના પુનઃવસન માટે ડે.કમિશનરને રજૂઆત

ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત થયેલ ડિમોલિશનના કારણે બેઘર થયેલા ઝુંપડપટ્ટીના રહીશોના પુનઃવસન માટે 'ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ ભાવનગર' દ્વારા મ્યુનિસિપલ ડે.કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય લકાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ ભાવનગર દ્વારા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં ગત 20-6-25 ના રોજ નામદાર કોર્ટે ઓર્ડર કર્યો હતો, જે મુજબ અસરગ્રસ્ત રહીશોએ વ્યક્તિગત અરજીઓ ભાવનગર મહાનગરપાલિકામાં જમા કરાવી દીધી છે,રહીશોની માંગ છે કે હાઈકોર્ટના આ ચુકાદાનું પાલન કરી વહેલી તકે પુનઃવસનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે, ​આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,​ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ, ઝુંપડપટ્ટી પુનઃવસન નીતિ હેઠળ રહીશોને હક્ક મળવો જોઈએ. ​ગરીબ પરિવારોને રહેવા માટે ઘરનું ઘર મળી રહે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે અમલીકરણ કરવામાં આવે, ​આ બાબતે અગાઉ પણ કાર્યપાલક ઈજનેર અને લીગલ વિભાગ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી, ​સમિતિના પ્રમુખ, મહામંત્રી અને સલાહકાર તૌફીક રફીકભાઈ શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ગરીબ પરિવારોને ન્યાય મળે અને તેઓને વહેલી તકે આવાસની સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સકારાત્મક પગલાં ભરે તેમ રજુઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:34 pm

જૂનાગઢ શિવરાત્રિ મેળામાં ભાવિકો ઘટતા એસટી વિભાગને ખોટ:રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી દોડેલી એક્સ્ટ્રા બસ થકી આવકમાં ઘટાડો, 5 દિવસની ડિવિઝનની રૂ.3.51 કરોડની કમાણી

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેની અસર એસટી વિભાગની આવક પર પણ પડી છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ પર્વ દરમિયાન એક્સ્ટ્રા 30 બસો અને 180 ટ્રિપનું સંચાલન કરવાની તૈયારી હતી જોકે 119 ટ્રીપ દોડી અને રૂ.5.73 લાખની આવક થઈ. જ્યારે ગત વર્ષે મહાશિવરાત્રીના પાંચ દિવસ દરમિયાન દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસ થકી રૂ.6.50 લાખની આવક થઈ હતી. જેથી કમાણીમાં રૂ.76,558 નો ઘટાડો થયો છે. જોકે જૂનાગઢ શિવરાત્રીના મેળાના 11 થી 15 ફેબ્રુઆરી એમ 5 દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને રૂ.3.51 કરોડની કમાણી થઈ છે. રાજકોટ એસટી વિભાગના ટ્રાફિક કન્ટ્રોલર એચ. આર. કટારાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ મહાશિવરાત્રિના પર્વને અનુલક્ષીને 180 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવાની તૈયારી રાખવામાં આવી હતી. જોકે આ વર્ષે શિવરાત્રિમાં ગત વર્ષની તુલનામાં ટ્રાફિક ઘટ્યો છે. જેની અસર સ્વરૂપે આ તહેવાર દરમિયાન રાજકોટ એસટી વિભાગને એક્સ્ટ્રા બસ થકી થતી આવકમાં રૂ.76,558 નો ઘટાડો થયો છે. શિવરાત્રીમાં એક્સ્ટ્રા બસ થકી ગત વર્ષે રૂ.6.50 લાખની આવક થઈ હતી. જેની સામે આ વખતે રૂ.5.73 લાખની આવક થઈ છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના તહેવાર દરમિયાન 5 દિવસમાં રાજકોટ એસટી વિભાગને રૂ.3.51 કરોડની કમાણી થઈ છે. જેમાં ડેપો વાઇસ નજર કરીએ તો રાજકોટ ડેપોને સૌથી વધુ રૂ.61,18,717, ગોંડલ ડેપોની રૂ.56,33,993, વોલ્વો પ્રીમિયમની રૂ.46,96,121, વાંકાનેરની રૂ.41,74,591 અને સુરેન્દ્રનગર ડેપોની રૂ.40,92,855 આવક થઈ છે. વર્ષ 2026 માં એક્સ્ટ્રા 119 ટ્રીપ થકી રૂ.5.73 લાખની આવક ડેપો - ટ્રિપ - આવક(રૂપિયામા) - મુસાફરોની સંખ્યા રાજકોટ - 45- 2,34,392 - 1644જસદણ - 30- 1,11,099 - 1013ગોંડલ - 24- 1,09,946 - 1023વાંકાનેર - 12- 65,423 - 422સુરેન્દ્રનગર - 06- 37,085 - 338 ચોટીલા - 02- 16,000 - 143કુલ - 119- 5,73,945 - 4583 વર્ષ 2025 માં એક્સ્ટ્રા 142 ટ્રિપ થકી રૂ.6.50 લાખની આવક ડેપો - ટ્રિપ - આવક(રૂપિયામા) - મુસાફરોની સંખ્યા ગોંડલ - 70- 2,96,852 - 3350રાજકોટ - 46- 2,20,536 - 1607લીંબડી - 13- 73045 - 495સુરેન્દ્રનગર - 11- 53,581- 433જસદણ - 02- 6489 - 111કુલ - 142- 6,50,503 - 5996

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:33 pm

વેરાવળ GIDCમાં જેન્ની મરીન કંપનીના પૂંઠાના ગોડાઉનમાં ભીષણ આગ:વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ GIDC વિસ્તારમાં આજે બપોરે ભીષણ આગની ઘટના સામે આવી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ગોડાઉનમાં ફિશ એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા પૂંઠાના બોક્સ તેમજ મોટી માત્રામાં પ્લાસ્ટિક મટીરીયલનો જથ્થો સંગ્રહિત હતો. બપોરે અંદાજે 12:30 વાગ્યાના સુમારે અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જ્વલનશીલ સામગ્રી વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાય તેવી ભીતિ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયરમેન વિજય કોડિયાતર અને નરેન્દ્રસિંહ આછડિયા સહિતની ટીમે વોટર બ્રાઉઝર વડે પાણીનો જોરદાર મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો આગ બાજુમાં સંગ્રહિત પ્લાસ્ટિકના જથ્થા સુધી પહોંચી હોત તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. ઘટના અંગે જેન્ની મરીન રો મટીરીયલ ડિપાર્ટમેન્ટના સુપરવાઈઝર પંકજ ડોડીયાના જણાવ્યા મુજબ અમારી જેન્ની મરીન કંપનીના વેસ્ટજ માલ સમાન માટે કંપનીની બાજુમાં આવેલા આર.કે. પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોડાઉન આવેલ છે જેમાં વેસ્ટજ પૂંઠાના બોક્સ અને પ્લાસ્ટિક મટીરીયલ સ્ટોરેજ કર્યું હતું, આજે બપોરે અચાનક ઇલે. વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અમારું પ્રાથમિક અનુમાન છે. ઘટના બનતા અમે તાત્કાલિક ફાયર બીગ્રેડને જાણ કરી હતી. દરમિયાન અમારી કંપનીમાંથી વોટર ટેન્કર મંગાવી 20 થી 25 લેબર મારફતે ડોલ વડે પાણી નો મારો ચલાવ્યો હતો. તેમજ ફાયર બીગ્રેડની ટીમ જતાં આગને કાબુમાં લીધી હતી. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે, ઘટનાને પગલે GIDC વિસ્તારમાં નીતિ-નિયમોના ઉલ્લંઘન અંગે ચર્ચાઓ તેજ બની છે. જ્વલનશીલ સામગ્રીનો નિયમ વિરુદ્ધ સંગ્રહ, પૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થાનો અભાવ વગેરે મુદ્દાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ માંગ ઉઠાવી છે કે, સંલગ્ન વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરી જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટના ફરી ન બને.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:25 pm

કાલોલમાં 85 CCTV કેમેરાનું લોકાર્પણ:નેત્રમ – ફેસ-2 વિશ્વાસ પ્રોજેક્ટથી સુરક્ષા સઘન બનશે

પંચમહાલ જિલ્લાના કાલોલમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નેત્રમ – ફેસ-2 વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 85 CCTV કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના માધ્યમથી ગુનાખોરી પર અંકુશ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ કાલોલના 15 વ્યૂહાત્મક સ્થળોએ 85 અત્યાધુનિક CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના હસ્તે તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોને સીધા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ હેઠળ લાવશે. ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓ અટકાવવામાં અને ટ્રાફિક નિયમન જાળવવામાં આ ટેકનોલોજી અત્યંત મદદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટમાં સ્થાનિક દાતાઓનો સહયોગ લેવામાં આવ્યો છે, જે પોલીસ અને જનતા વચ્ચેના મજબૂત વિશ્વાસનું પ્રતીક છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડૉ. દુધાતે પોલીસ સ્ટેશનને આર્થિક અને સાધન-સહાય પૂરી પાડનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની નિઃસ્વાર્થ સેવાને બિરદાવતા, પોલીસ વિભાગ દ્વારા તેમને પ્રશંસા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:21 pm

વલસાડમાં રસ્તો બંધ થતા વિવાદ:પ્રહરી ટ્રસ્ટે કલેક્ટરને આવેદનપત્ર આપી રસ્તો ખોલવા માંગ કરી

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી ગોકુળધામ સોસાયટીના મુખ્ય રસ્તાને બંધ કરવાના મામલે વિવાદ વકર્યો છે. આ અંગે પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેતકુમાર દેસાઈએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાની માંગ કરી છે. સંકેતકુમાર દેસાઈના જણાવ્યા અનુસાર, ગોકુળધામ સોસાયટીના કેટલાક લોકો દ્વારા આસપાસની અન્ય સોસાયટીઓ માટેનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અગાઉ 'તાલુકા સ્વાગત કાર્યક્રમ'માં આ મુદ્દો ઉઠાવવામાં આવતા તત્કાલીન કલેક્ટરે પોલીસ બંદોબસ્ત સાથે આ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જોકે, આક્ષેપ છે કે રાજકીય દબાણ અથવા કોઈ મોટા નેતાના ઈશારે આ રસ્તો ફરીથી બંધ કરી દેવાયો છે. સંકેતભાઈએ જણાવ્યું કે સ્થાનિક લોકચર્ચા મુજબ કોઈ સાંસદ સભ્યના દબાણને કારણે વહીવટી તંત્ર આ રસ્તો ખોલાવી રહ્યું નથી. સોસાયટીના દસ્તાવેજોમાં પણ આ રસ્તો જાહેર ઉપયોગ અને ખેતીના હેતુ માટે ખુલ્લો રાખવાનો ઉલ્લેખ છે, છતાં તેને બંધ રાખવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી આસપાસની 2થી 3 સોસાયટીના રહીશો, વિદ્યાર્થીઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગમી 48 કલાકમાં આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે, તો તેઓ આગામી 'રાજ્ય સ્વાગત કાર્યક્રમ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ બાબતની સીધી રજૂઆત કરશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:19 pm

પશ્ચિમાંચલ યુથ ફેસ્ટિવલ સમાપ્ત:પારુલ યુનિવર્સિટી ચેમ્પિયન અને CVM યુનિવર્સિટી સેકન્ડ રનર્સ-અપ, 33 યુનિવર્સિટીઓએ ભાગ લીધો

સી.વી.એમ. યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા આયોજિત 39મા આંતર-યુનિવર્સિટી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ 'પશ્ચિમાંચલ: ધ યુનિફેસ્ટ 2026'નું રવિવારે સમાપન થયું. આ પાંચ દિવસીય કલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટી વિજેતા જાહેર થઈ હતી. રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠ રનર્સ-અપ રહી હતી, જ્યારે યજમાન સી.વી.એમ. યુનિવર્સિટીએ ઓવરઓલ સેકન્ડ રનર્સ-અપનું સ્થાન મેળવ્યું. ગુજરાત અને રાજસ્થાનની 33થી વધુ યુનિવર્સિટીઓના 1597 યુવા કલાકારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. વિદ્યાનગર ખાતે 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં એસ.પી.યુ. ઓડિટોરિયમ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. થિયેટર, ફોક ડાન્સ, મ્યુઝિક, ફાઈન આર્ટસ અને લિટરરી જેવી 28 જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ પદે સાંસદ મિતેશ પટેલ, એસ.પી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નિરંજન પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સી.વી.એમ.ના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન 13 ફેબ્રુઆરીની સાંજે ગાયિકા પ્રાપ્તિ મહેતા અને તેમની ટીમ દ્વારા ‘ભજન ક્લબિંગ’નું વિશેષ આયોજન કરાયું હતું, જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ મહોત્સવ માત્ર હાર-જીતનો પ્રસંગ નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓના મિલનનો ઉત્સવ છે. યુવાનોએ ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. સી.વી.એમના માનદ સહમંત્રી મેહુલ પટેલે આ આયોજનને આણંદ અને વિદ્યાનગર માટે ગૌરવ સમાન ગણાવ્યું હતું. એઆઈયુના ઓબ્ઝર્વર્સ ડૉ. એલ. વી. નાગભૂષણ અને શિવદર્શન કદમે સી.વી.એમ. યુનિવર્સિટીના યજમાનપદ અને સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કલ્ચરલ હેડ ડૉ. સર્વેશ ત્રિવેદી અને તેમની ટીમે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:15 pm

જામનગરમાં શિક્ષક પરેશ સહેત્યા સન્માનિત:ચૂંટણી કામગીરીમાં એડવાન્સ ટેક્નિક્સનો ઉપયોગ કરી સરળતા લાવવા બદલ સન્માનિત કરાયા

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 45ના મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાને ચૂંટણીલક્ષી કામગીરીમાં એડવાન્સ ટેક્નિક્સનો ઉપયોગ કરી તેને સરળ બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BLO અને અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરેશભાઈ સહેત્યાએ પોતાની ટેકનિકલ કુશળતા અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરીને જટિલ ચૂંટણી કામગીરીને અત્યંત સરળ અને કાર્યક્ષમ બનાવી હતી. તેમની આ નિષ્ઠા અને નવતર અભિગમને તંત્ર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. તેમનું સન્માન જામનગરના આસિસ્ટન્ટ કલેક્ટર અદિતિ વાર્ષને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકલાણી અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળા નંબર 45 ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં ટેકનોલોજીનો સકારાત્મક સમન્વય સમયની બચત સાથે સચોટ પરિણામો આપે છે. પરેશભાઈની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમના સન્માનથી શિક્ષણ જગત અને સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:13 pm

દાહોદની દેસાઈવાડા શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ માતા-પિતાના ચરણસ્પર્શ કરી આભાર વ્યક્ત કર્યો

દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદરભાવ અને તેમના યોગદાનનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને શિક્ષિકા નીલમબેન જાદવે માતા-પિતાના અવિસ્મરણીય યોગદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે માતા-પિતા જીવનના પ્રથમ ગુરુ છે અને તેમના આશીર્વાદ વિના સફળતા અધૂરી છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું તિલક કરી, પુષ્પ અર્પણ કરી અને ચરણસ્પર્શ કરીને પૂજન કર્યું હતું. આ દ્રશ્યોએ શાળાના પરિસરમાં ભાવુક વાતાવરણ સર્જ્યું હતું. ઘણા વાલીઓએ પોતાના સંતાનોની આદરભાવભીની લાગણીઓ જોઈ ગર્વ અને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ માતા-પિતાના મહત્વ વિશે વક્તવ્યો પણ રજૂ કર્યા હતા. કેટલાક વાલીઓએ બાળકોને સદાચરણ, સંસ્કાર અને અભ્યાસ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની સલાહ આપી હતી. શાળાના શિક્ષકમંડળ અને વાલીગણના સહકારથી આ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ઉજવણી વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારનું મજબૂત બીજ વાવનાર સાબિત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:09 pm

વડોદરાના ખટંબામાં ગટરમાં બે કામદારોના મોતનો મામલો:બેદરકારી એજન્સી માલિકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો, સેફ્ટીના સાધનો વગર ઉતાર્યા હતા

તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ ખટંબા ખાતે ગટરમાં કોઈપણ પ્રકારના સાધનો સિવાય બે કામદારોને સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગેસની અસર થતા ગુંગળામણ કારણે બંને કામદારના મોત થયા હતા. સુરક્ષાના સાધનો સિવાય કામદારોને કામગીરી માટે ઉતાર્યા હોય બંને કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી. જેથી પોલીસે આ બંને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સેફ્ટીના સાધનો વગર ગટરમાં ઉતારાતા બે કામદારોના મોત નિપજ્યા હતામહેસાણા ખાતે રહેતા જંયતિ અંબાલાલ પટેલ, જયંતિ સુપર કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડના પ્રોપ્રાઈટર છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ગત 2 નવેમ્બર 2022ના રોજ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી પાસેથી ટી.પી.સ્કીમ નં.25 (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટમ્બા) ખાતે આવેલી 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી કન્સ્ટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાફ્ટ એગ્રીમેન્ટમાં કરેલ કડીશન મુજબ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા ટેન્ડરની કડીશનની શરતોનો ભંગ કરી ગ્રીસ્વા ઇન્ફા પ્રોજેક્ટ એલએલપી અમદાવાદના પ્રોપ્રાઈટર સંજય માધવજીભાઈ ખુંટને ડ્રેનેજની લાઈનની કામગીરી કરવા માટેનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પેટા કોન્ટ્રાક્ટર સારી રીતે જાણતા હતા કે ગટરમાં સાફસફાઈ કરવા માટેના સલામતીના સાધનો વિના ગટરમાં ઉતરી કામ કરવામાં આવે તો ગેસ ગળતર થવાના કારણે ગૂંગળામણ થવાના કામદારોનું મોત પણ થઈ શકે છે તેમ છતા તેઓએ અક્ષયભાઇ શનાભાઇ ભાભોર (ઉ.વ.23 રહે. સરસોડા તા.ગરબાડા, જી.દાહોદ તથા વિપુલભાઈ મનસુખભાઇ માંગરોલિયા( રહે. સી/501, શિવમ રેસિડન્સી, ગાયત્રી બંગ્લોઝ સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ શહેર)ને સલામતીના સાધનો જેવા કે કપડા, હાથના ભારે અને લાંબા રબરના મોજા, શ્વસન સુરક્ષા માટે ફેસમાસ્ક, રેમ્પીરેટર માટે ઓક્સિજન ગેસની વ્યવસ્થા, આંખો અને ચહેરા માટે સેફટી ગોગલ્સ અથવા ફ્રેસ શિલ્ડ, હાર્નેસ સાથે ટ્રાઈપોડ વિગેરે પુરા નહિ પાડી તેઓની પાસે ગટર લાઈનના કન્સ્ટ્રકશનની સાથે સાથે ગટર લાઈનમાં ઉરીને ડ્રેનેજની સાફસફાઈ કરી કન્સ્ટ્રકશનની કામગીરી કરવાનું કામ સોંપ્યું હતું. બે એજન્સીના માલિકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયોબંને કામદાર ડ્રેનેજમાં કામગીરી કરવા ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણ થતા બન્ને ના મોત નીપજ્યા હતા. જેથી ફરિયાદ મૃતકના ભાઈએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ કરતા સલામતીના સાધનો સિવાય ગટર લાઈનની ચેમ્બરમાં ઉતરી સાફસફાઈની કામગીરી કરવા જતા ગટર લાઈનમાં રહેલ ગેસની અસર થતા બેભાન થઇ જતા બંનેનું મોત નીપજયુ હતું. જેથી વરણામા પોલીસે બેદરકારી રાખનાર બંને કોન્ટ્રાકટર જયંતી પટેલ તથા સંજય ખૂટ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. DySP મિલન મોદીએ જણાવ્યું હતું કે, ગઈ તારીખ 13/02/2026 ના રોજ વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટંબા ગામે ગટર પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનમાં કોઈ ટેકનિકલ સમસ્યા આવતા, બે શ્રમિકો રીપેરીંગ કરવા માટે અંદર ઉતર્યા હતા. કમનસીબે, ગટરમાં ગેસ ગળતર થવાના કારણે ગૂંગળામણથી આ બંને શ્રમિકોના મૃત્યુ થયા હતા. આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ, તારીખ 15/02/2026 ના રોજ વરણામા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગુનો એટ્રોસિટી એક્ટ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં બે મુખ્ય કંપનીઓ અને તેના માલિકો (પ્રોપરાઈટર્સ) વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસની કામગીરી ચાલુ છે. પુરાવાઓ અને તપાસના આધારે જે પણ આગળની કાર્યવાહી થશે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:02 pm

શિક્ષક પરેશ સહેત્યાની કામગીરીને બિરદાવવામાં આવી:ચૂંટણી લક્ષી કામગીરીમાં તેમણે એડવાન્સ ટેકનિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કર્યો

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાને તેમની સરાહનીય કામગીરી બદલ તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે એડવાન્સ ટેકનિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરીને વહીવટી કામગીરીને સરળ બનાવી હતી. શિક્ષક પરેશ સહેત્યા, જે શાળા નંબર 45માં ફરજ બજાવે છે, તેમણે 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BLO (બૂથ લેવલ ઓફિસર) અને અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કર્યો હતો. તેમની આ નિષ્ઠા અને નવતર અભિગમ બદલ જામનગરના આસિસ્ટન્ટ કલેક્ટર અદિતિ વાર્ષને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકલાણી તેમજ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલના હસ્તે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં ટેકનોલોજીનો સકારાત્મક સમન્વય સમયની બચત સાથે સચોટ પરિણામ આપે છે. પરેશભાઈની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત અને સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 5:01 pm

પાટણમાં ફૂડ ફોર્ટિફિકેશન જાગૃતિ વર્કશોપ યોજાયો:કુપોષણ-એનિમિયા નિવારણ માટે ફોર્ટિફાઇડ ચોખા-મીઠાના ઉપયોગ પર ભાર

પીએમ પોષણ યોજના અંતર્ગત ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર અને જિલ્લા પુરવઠા વિભાગ, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે “ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ કુપોષણ અને એનિમિયા સામે લડવા માટે ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો હતો. જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરે જણાવ્યું હતું કે, ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ એનજીઓના સહયોગથી શિક્ષણ વિભાગ, આઈસીડીએસ અને પીએમ પોષણ વિભાગ સાથે સંકલનમાં આ કાર્યક્રમ સફળ રહ્યો. વિવિધ વિભાગોના કર્મચારીઓને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે, એસ્પિરેશનલ તાલુકા સાંતલપુરમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાનો વ્યાપક ઉપયોગ વધારવા માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગામી સમયમાં તમામ સંકલન અધિકારીઓ સાથે મળીને કુપોષણમુક્ત તાલુકો અને જિલ્લો બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. વર્કશોપ દરમિયાન, સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ જગદીશ સાઠે દ્વારા ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને ફોર્ટિફાઇડ ચોખાના ઉપયોગનું મહત્વ, એનિમિયા નાબૂદીના પ્રયાસો, કુપોષણ નિવારણ અને સમતોલ આહાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે દૈનિક જીવનમાં ફોર્ટિફાઇડ આહારનો વ્યાપક સ્વીકાર થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ અને એનિમિયા નિવારણ માટે આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળના કાર્ડધારકોને ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠું પૂરું પાડવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફૂડ ફોર્ટિફિકેશન અંગે જાગૃતિ વધારવા અને તેના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાનો હતો. આવા પ્રયાસોથી કુપોષણ અને એનિમિયા સામેની લડતમાં સશક્ત પરિણામો પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાંતિલાલ પરમાર (પ્રોજેક્ટ મેનેજર), વિપુલભાઈ ઠાકર (રિજનલ કો-ઓર્ડિનેટર, ફૂડ ફોર્ટિફિકેશન, ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ, ગાંધીનગર), આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ., પી.એમ. પોષણ યોજના, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્વસહાય જૂથોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:55 pm

ભરૂચમાં પાણીની ટાંકી માટે ફાળવેલી જમીન કબ્રસ્તાન હોવાનો દાવો:ઈદગાહ વકફ ટ્રસ્ટનો વિરોધ, ફાળવણી રદ કરવા કલેક્ટરને આવેદન

ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકી અને પંપ રૂમના બાંધકામ માટે નગરપાલિકાને ફાળવાયેલી જમીન વિવાદમાં સપડાઈ છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આ ફાળવણીનો વિરોધ કર્યો છે. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન પરત કરવાની અને દરખાસ્ત રદ કરવાની માંગ કરી છે. ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, વોર્ડ નં. 5, સી.એસ. નં. 1506 હેઠળની આશરે 2977 ચો.મી. જમીન નગરપાલિકાને ફાળવવા કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરાયો છે. જમીનની કિંમતના 10 ટકા એટલે કે રૂ. 38,70,100 ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. મુસ્લિમ સમાજે આ હુકમનો સખત વિરોધ નોંધાવ્યો છે. ટ્રસ્ટનો દાવો છે કે ઐતિહાસિક રેકોર્ડ મુજબ આ જમીનનો ઉપયોગ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે થતો આવ્યો છે. જૂના સર્વે રેકોર્ડ અને પ્રોપર્ટી કાર્ડમાં પણ તે કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે. 1975-76ના રીવિઝન સર્વેમાં નવા સી.એસ. નં. 1506 તરીકે નોંધાયા બાદ પણ સરકારના ચોપડે તે કબ્રસ્તાન તરીકે જ દર્શાવવામાં આવે છે. મહેસૂલી કાયદા મુજબ, કબ્રસ્તાન કે સ્મશાન માટે નિયત થયેલી જમીનનું અન્ય કોઈ હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે. તેની બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે, જ્યાં ઈદુલફિત્ર અને બકરીઈદ જેવા તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે. આ ઉપરાંત, જનાઝાની નમાઝ, પાર્કિંગ અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યાનો ઉપયોગ થાય છે. આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા છે. નજીકમાં જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેક્ટર બંગલો અને એસ.પી. કચેરી હોવાથી પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક અવરોધની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. આ જમીન ચેરીટી કમિશનર કચેરી અને ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલી હોવાનો દાવો કરાયો છે. અગાઉ પણ ટ્રસ્ટો દ્વારા આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે. જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે છે. મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે અને હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:55 pm

પાટણમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન:જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે ખુલ્લો મૂક્યો, 22 ફેબ્રુઆરી સુધી ચાલશે

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો શુભારંભ થયો છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન (GULM)ના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ મેળો 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પ્રસંગે પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સ્વદેશી મેળો માત્ર વેપારનો અવસર નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવતું મજબૂત પગલું છે. તેમણે ઉમેર્યું કે, સ્વદેશી શબ્દ માત્ર એક ઉત્પાદન નહીં, પરંતુ દેશની મહેનત, કારીગરી, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવી દેશને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો, જેને પાટણ નગરપાલિકા આગળ ધપાવી રહી છે. પ્રમુખ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ મેળાથી સ્થાનિક વેપારીઓ, હસ્તકલાકારો, નાના ઉદ્યોગકારો અને મહિલા ઉદ્યમીઓને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે. સ્થાનિક ખરીદી અને રોજગારીમાં વધારો થવાથી આર્થિક પ્રવાહ મજબૂત બનશે, જે પાટણ શહેરની પ્રગતિ માટે નવી દિશા પૂરી પાડશે. જિલ્લા પંચાયત પ્રમુખે પાટણના નાગરિકોને સ્વદેશી મેળાની મુલાકાત લેવા અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણો એક નિર્ણય અનેક પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. આ મેળામાં વિવિધ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત વાનગીઓ અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વસહાય જૂથોની બહેનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:49 pm

પાટણમાં બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથનું પ્રસ્થાન:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' શરૂ

પાટણ જિલ્લામાં 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત બાળ લગ્ન મુક્ત જાગૃતિ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં બાળ લગ્ન પ્રત્યે જાગૃતિ ફેલાવી આ કુપ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. જિલ્લા કલેક્ટર કચેરી, પાટણ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ જાગૃતિ રથ પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં ફરશે. તે બાળ લગ્નથી થતા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત નુકસાન અંગે લોકોને માહિતગાર કરશે. ઉપરાંત, બાળ લગ્ન પ્રતિબંધક કાયદા વિશે વિસ્તૃત સમજ પણ આપશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, બાળ લગ્ન અટકાવવાનું કાર્ય સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. તેમણે સમાજમાંથી આ પ્રથાને ઝડપથી નાબૂદ કરવા સૌને સક્રિય સહભાગી થવા આહવાન કર્યું હતું. આ પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન અને સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા અને બાળ વિકાસ કચેરીનો સ્ટાફ, ચાઈલ્ડ હેલ્પલાઈન 1098નો સ્ટાફ તેમજ સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાયત્રી સેવા સંસ્થા તથા જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત પહેલાં ગાયત્રી સેવા સંસ્થાના જિલ્લા કો-ઓર્ડિનેટર જયેશ પરમારે સંસ્થાના કાર્યો અને બાળ લગ્ન મુક્ત રથ અભિયાન અંગે માહિતી આપી હતી. સંસ્થાના કાર્યકરો કિરણ ડોડીયા અને વૈભવ મોદીએ કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:49 pm

સુરત મોડલ આત્મહત્યા કેસમાં ઘટસ્ફોટ:પ્રેમી ને લિવ-ઇન પાર્ટનર ઘરમાં ગોંધીં ડામ આપી માર મારતા, બન્નેએ સાથે કોન્ફરન્સ કોલ કરી અપશબ્દો કહ્યાં ને ગળાફાંસો ખાધો

સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજનીકુમાર શ્રવણ કુમાર જૈસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશની કોલેજમાં બિફાર્મનો અભ્યાસ કરે છે. સુખપ્રીત કૌર સાથે સુરતમાં લિવ ઇનમાં રહેતા યુવક સાથે મળી સુખપ્રિત કૌર પર અત્યાચાર ગુજારતો હતો. મરતા પહેલા પણ કોન્ફરન્સ કોલમાં સુખપ્રિતની સાથે વાત થઈ હતી જેમાં પણ અનુરાગે અપશબ્દો કહેતા માઠું લાગી આવતા આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેઈલિંગથી કંટાળી મોડલને આપઘાત કરવા મજબૂર બની હોવાનું 18 સપ્ટેમ્બર, 2025ના સામે આવ્યું હતું. સંબંધ તોડી નાંખવા બદલ આરોપી મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતાં. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસે ચાર મહિને આરોપીને ઝડપ્યો હતો. સુરતની મોડલ સુખપ્રીત કૌરનો ચકચારી આપધાત કેસમધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર એપ્રિલના એન્ડમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુરતમાં મોડલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી. લિવ ઈનમાં રહેતો યુવક ઘરમાં ગોંધી મારતો અને ડામ આપતોમૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ (ઉ.વ. 58, રહે. શિવપુરી, મધ્યપ્રદેશ) અંતિમક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડબોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઇ ગયા હતા. જ્યાં અંતિમક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણીનો સામાન ચેક કર્યો હતો. બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક, ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. આપઘાત માટે દુષ્પ્રેરણામાં પ્રેમીની સંડોવણી ખુલીઅરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ, લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક-શારીરિક અત્યાચાર, બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો. જેની 17 સપ્ટેમ્બર 2025 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ અનુરાગ નામના એક વ્યક્તિ કે જે સુખપ્રીત કૌરનો પ્રેમી છે તેની પણ સંડોવણી હોવાનું પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. મરતા પહેલા કોન્ફરન્સ કોલમાં અપશબ્દો કહ્યાસારોલી પોલીસ દ્વારા આરોપી મહેન્દ્ર અને પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન સુખપ્રીત કૌરે મરતા પહેલા એક કોન્ફરન્સ કોલ માં વાત કરી હતી તેની માહિતી સામે આવી હતી. જેમાં મહેન્દ્ર રાજપુત અને અનુરાગ જયસ્વાલ બંને કોન્ફરન્સ કોલ માં સુખપ્રીત સાથે વાત કરી રહ્યા હતા. અનુરાગે ખૂબ જ ખરાબ અને અપશબ્દો કહી શકાય તેવી ભાષામાં સુખપ્રીત સાથે વાત કરી હતી. સુખ પ્રીત અને અનુરાગ વચ્ચે પ્રેમ સંબંધ ઘણા સમયથી હતો. જે હાલ મધ્યપ્રદેશની કોલેજમાં બી ફાર્મ નો અભ્યાસ કરી રહ્યો છે. આ પણ વાંચો: સુરતમાં મોડલના આપઘાતનું રહસ્ય ઘેરાયું લિવ ઈનમાં રહેતો યુવક અને પ્રેમી બંનેના ત્રાસથી કંટાળી આપઘાતમોડેલિંગ કરતી સુખપ્રીત અલગ અલગ જગ્યાઓ પર મોડેલિંગ કરવા જતી હોવાથી મહેન્દ્ર રાજપુતના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સુરત આવતા તેની સાથે થોડો સમય લિવ ઇનમાં રહી હતી. જે અંગે અનુરાગ ને પણ જાણ થઈ ગઈ હતી જેથી તે તેની સાથે ઝઘડાઓ કરતો હતો. સુખપ્રીતે મહેન્દ્ર સાથે સંબંધ તોડી નાખવાની વાત કરતા તેણે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારીયો હતો. એક તરફ પ્રેમી અનુરાગ અપ શબ્દો સહિત નાથી માનસિક ત્રાસ આપતો હતો અને બીજી તરફ લિવ ઈનમાં રહેતો મહેન્દ્ર પણ અત્યાચાર ગુજારતો હોવાથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. બી ફાર્મના વિદ્યાર્થી આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડઆ સમગ્ર વિગતો બહાર આવતા સારો લેખ પોલીસ મધ્યપ્રદેશ પહોંચી હતી અને અનુરાગ જયસ્વાલની ધરપકડ કરીને સુરત લઈ આવી છે. સુખ પ્રીત ના પરિવારજનો દ્વારા મહેન્દ્ર અને અનુરાગ બંને વિરુદ્ધ પહેલાથી જ આક્ષેપો કર્યા હતા. હાલ સારોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો:મોડલ સુખપ્રીત કૌર આત્મહત્યા કેસમાં લિવ ઈન પાર્ટનરની ધરપકડ

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:46 pm

સ્વ. જે.બી. મહેતા હાયર સેકન્ડરી સ્કૂલનું નામકરણ:શ્રીમતી એસ.એસ. પટેલ હાઈસ્કૂલના નવનિર્માણ કાર્યક્રમમાં જાહેરાત

મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં શ્રીમતી એસ.એસ. પટેલ હાઈસ્કૂલના નવનિર્માણ માટેનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આ પ્રસંગે શાળા પરિસરમાં નિર્માણ પામનાર નવી હાયર સેકન્ડરી સ્કૂલનું નામ 'સ્વ. જે.બી. મહેતા હાયર સેકન્ડરી સ્કૂલ' રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના નવનિર્માણનું ખાતમુહૂર્ત અને વર્ષ 1961થી 2025 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ દ્વિદિવસીય કાર્યક્રમ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. શાળાના નવનિર્માણ માટે મહેમાનો, મહાનુભાવો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉદાર હાથે આર્થિક યોગદાન આપી આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શ્રીમતી એસ.એસ. પટેલ હાઈસ્કૂલના પરિસરમાં બનનારી નવી હાયર સેકન્ડરી સ્કૂલના નામકરણ માટે દધાલિયા કેળવણી મંડળ દ્વારા બોલી બોલાવવામાં આવી હતી. આ બોલીમાં મંડળના પ્રમુખ જીગર મહેતા અને મિનેષ મહેતાએ તેમના પિતા સ્વ. જે.બી. મહેતાના નામ પર સ્કૂલનું નામ રાખવા સંમતિ દર્શાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Feb 2026 4:40 pm