અક્ષય કુમારના આઇડિયાને અનુસરી બીએમસી યોજશે મુંબઈ ક્લીન લીગ
અક્ષય કુમાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે સોસાયટીઓ, શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય એકમો ભાગ લઈ શકશેઃ પ્રોપર્ટી ટેક્સમાં છૂટ સહિતનાં ઈનામો મુંબઈ - મુંબઈના નાગરિકો સફાઈ માટે જાગૃત થાય તે માટે મહાપાલિકા દ્વારા આઈપીએલની તર્જ પર મુંબઈ ક્લીન લીગ સ્પર્ધા યોજાશે. જુદા જુદા વિસ્તારો તથા સોસાયટીઓ તેમાં ભાગ લઈ શકશે. વિજેતાઓને એવોર્ડ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં છૂટછાટ જેવાં પ્રોત્સાહનો પણ અપાશે. આ સમગ્ર સ્પર્ધા માટે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાની સિક્યુરિટી ચીફના માર્યા ગયા હોવાના દાવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની જાહેરાતના રહ્યા. હવે બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા મળશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો આજે આઠમો દિવસ છે. 2. નવી દિલ્હીમાં ભારત ટ્રાઈબ્સ ફેસ્ટ 2026નો શુભારંભ થશે. કાલના મોટા સમાચારો 1. ઈઝરાયલનો દાવો- ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાની માર્યા ગયા: બસીજ ફોર્સના કમાન્ડર સુલેમાનીનું પણ મોત, ઈરાને હજુ સુધી પુષ્ટિ કરી નથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષામંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે ઈરાનમાં રાત્રે કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં દેશના સિક્યોરિટી ચીફ અલી લારીજાની માર્યા ગયા છે. તેઓ ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી માનવામાં આવે છે. આ પહેલા ઈઝરાયેલી સેના (IDF) એ પુષ્ટિ કરી હતી કે તેણે લારીજાનીને નિશાન બનાવ્યા હતા. આ સાથે જ IDF એ જણાવ્યું કે એક અલગ હુમલામાં ઈરાનની બસીજ પેરામિલિટ્રી ફોર્સના કમાન્ડર ગોલામરેઝા સુલેમાનીને પણ મારી નાખવામાં આવ્યા છે. રક્ષામંત્રી કાત્ઝે નિવેદનમાં જણાવ્યું હતું કે લારીજાની અને બસીજ કમાન્ડરને ખતમ કરી દેવામાં આવ્યા છે અને તેઓ એવા લોકોની સાથે જઈ મળ્યા છે, જેમને ઈઝરાયલ પહેલા જ મારી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા:3 મહિનાથી ઓછી ઉંમરનો નિયમ હટાવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- પિતાને રજાનો પણ નિયમ બને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ વાત તે કેસની સુનાવણી દરમિયાન કહી, જેમાં આ સોશિયલ સિક્યુરિટી કોડની તે કલમને પડકારવામાં આવી હતી જેમાં દત્તક લેનાર માતાને ત્યારે જ પ્રસૂતિ રજા મળશે જ્યારે બાળક 3 મહિનાથી ઓછી ઉંમરનું હોય. હંસાનંદિની નંદુરીએ આ અંગે જનહિત અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉંમર આધારિત પ્રતિબંધ મનસ્વી અને બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. કોર્ટે આ જોગવાઈમાં સુધારો કરતા કહ્યું કે જે મહિલા કાયદેસર રીતે બાળકને દત્તક લે છે, તેને બાળકની ઉંમર ગમે તે હોય, 12 મહિનાની મેટરનિટી લીવ મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતા ભવાનીપુરથી ચૂંટણી લડશે, અહીં ભાજપના ઉમેદવાર સુવેન્દુ:તૃણમૂલે તમામ 291 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી; મમતાએ કહ્યું - બંગાળ જીતશે, દિલ્હીનો લાડુ હારશે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)એ મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 294 બેઠકોમાંથી 291 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી. બાકીની ત્રણ બેઠકો સાથી પક્ષ BJPMને આપવામાં આવી છે. મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે. તેમનો મુકાબલો ભાજપ નેતા સુવેન્દુ અધિકારી સાથે થશે. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ કહ્યું, હું ભાજપને કહેવા માંગુ છું કે તેઓ કેમ ડરે છે. જો તમારે લડવું હોય તો મેદાનમાં આવો અને મુકાબલો કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ વતી સ્માર્ટ ગેમ રમી રહ્યું છે. બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે, પરિણામ 4 મેના રોજ આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ક્રિકેટર કુલદીપ યાદવ દુલ્હન સાથે વિન્ટેજ કારમાં પહોંચ્યો:CM યોગીને પગે લાગ્યો, અખિલેશને ભેટ્યો; રિસેપ્શનમાં ગંભીર-ધવન અને જાડેજા પણ પહોંચ્યા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું લખનઉમાં રિસેપ્શન શરૂ થઈ ગયું છે. કુલદીપ પોતાની દુલ્હન વંશિકા સાથે રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને હોટલ ‘ધ સેન્ટ્રમ’ પહોંચ્યા છે. 1960 મોડલની આ કાર ખાસ દિલ્હીથી મંગાવવામાં આવી છે. વર-કન્યા પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સૌથી પહેલા સ્ટેજ પર પહોંચીને કુલદીપ અને વંશિકાને આશીર્વાદ આપ્યા હતા. કુલદીપે ગૌતમ ગંભીરના ચરણ સ્પર્શ કર્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રિસેપ્શનમાં પહોંચ્યા છે. કુલદીપે યોગીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા, જ્યારે વંશિકાએ હાથ જોડીને નમસ્તે કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કમિટીએ CMને UCCનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25મીએ ગૃહમાં રજૂ કરાશે:લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવા ભલામણ થઈ શકે, લિવ-ઇન માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દિયોદરમાં ધોરણ-12ના વિદ્યાર્થી પર છરા વડે જીવલેણ હુમલો:જીવ બચાવવા ATMમાં ઘૂસ્યો તો હુમલાખોરોએ ત્યાંથી બહાર ખેચી આડેધડ ઘા માર્યા, માથાના ભાગે ગંભીર ઈજા વાવ-થરાદ જિલ્લાદર તાલુકાના સોની ગામે પરીક્ષા આપીને બહાર નીકળેલા એક 18 વર્ષીય વિદ્યાર્થી પર જૂની અદાવતમાં બે શખ્સોએ છરા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે દિયોદર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી 18 વર્ષીય યુવક મહેશ રામજીભાઈ ચૌધરી ડીસા તાલુકાના નેસડા ગામનો રહેવાસી છે. હાલ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. ગઇકાલે 16 માર્ચે બપોરે 2:30 વાગ્યે તે સોની ગામની શ્રી બી.વી.પટેલ વિદ્યામંદિર ખાતે સંસ્કૃતનું પેપર લખવા ગયો હતો. પરીક્ષા દરમિયાન આરોપીઓ દ્વારા ફોન કરવામાં આવ્યા, પરંતુ પેપર હોવાથી મહેશે ફોન ઉપાડ્યા નહોતા. ત્યારબાદ ફોન પર થયેલી સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ મહેશને જાનથી મારી નાખવાની ધમકી આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગીર સોમનાથમાં ‘સફેદ ઝેર’નું કારખાનું:રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું ઝેરી દૂધ; ડાયાબિટીસથી કેન્સર સુધીનું જોખમ ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે કુલ 4,68,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરવાનું કૌભાંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અહીં 6 હજાર લીટર દૂધનું રોજ ઉત્પાદન કરાતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નકલી દૂધમાં વપરાતા હાનિકારક પદાર્થોને કારણે સેવન કરનારને કેન્સર, ડાયાબિટિસ, આંતરડામાં ચાંદા, તેમજ પાચનતંત્રને લગતી અનેક ભયંકર રોગ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : LIVE કેમેરા પર યુવકે છાતીમાં ગોળી મારી:મિત્ર વીડિયો બનાવતો રહ્યો, 'ચલાવતો નહીં ભાઈ...' કહ્યું પણ હસતા મોઢે ગોળી ધરબી; ચોંકાવનારો VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી:400નાં મોત, 250 ઘાયલ; PAKએ નશા મુક્તિ સેન્ટર પર બોમ્બ ફેંક્યા હોવાનો તાલિબાનનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : લોકસભામાંથી વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ:સ્પીકર બિરલાએ સાંસદોને કહ્યું- પોસ્ટરો અને AI-જનરેટેડ તસવીરો ન બતાવો; પ્રિયંકાએ કહ્યું- ખૂબ ખુશી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'એકલા ચાલો રે' ટ્રમ્પ:'NATOનું ભવિષ્ય ખરાબ થશે'ની ધમકી, છતાં સાથી દેશોએ હોર્મુઝ મુદ્દે સાથ ન આપ્યો; કહ્યું- આ અમારું યુદ્ધ નથી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹5 હજાર વધીને ₹2.54 લાખ પર પહોંચી:સોનું ₹300 વધીને ₹1.56 લાખનું થયું, આ વર્ષે કિંમત ₹23 હજાર વધી ચૂકી છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPL 2026: ગુજરાત ટાઇટન્સે ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું:હોમ મેચની ટિકિટો 1000 થી 25 હજારની રહેશે; દર્શકોને મોબાઈલ પર ક્યુઆર કોડવાળી ટિકિટ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બે દિવસ રહેશે અમાસ:18 માર્ચે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરો; 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ઈંડા પર લખવી પડશે મરઘીના ઈંડા આપવાની તારીખ 1 એપ્રિલ 2026થી ઉત્તર પ્રદેશમાં ઈંડા પર 'લેઈંગ ડેટ' એટલે કે મરઘીએ ઈંડા આપ્યાની તારીખ અને ઈંડાની એક્સપાયરી ડેટ લખવી અનિવાર્ય હશે. તેનાથી દુકાનદારો જૂના ઈંડાને ફ્રેશ કહીને વેચી શકશે નહીં. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. વાજપેયીને સ્ટેજ પર નચાવ્યા, મોદીએ આશીર્વાદ લીધા: PM બનાવવાની ક્રેડિટ લેનારા આસારામનો અસલી પાવર શેમાં હતો? 2008ની એક ઘટનાએ બધું બદલી નાખ્યું 2. આજનું એક્સપ્લેનર: અરબ દેશોએ અમેરિકાને કહ્યું- ઈરાનની 'બરબાદી' સુધી હુમલા કરતા રહો; પોતે યુદ્ધમાં કેમ નથી ઉતરી રહ્યા સાઉદી-UAE? 3. એક્સક્લૂસિવ : 2 દેશોની બોર્ડર અને બસમાં 1500 કિમીનો જોખમી પ્રવાસ: યુદ્ધ વચ્ચેથી બચ્યા ગુજરાતીઓ, કહ્યું- જો BAPSના સંતો ન હોત તો અમે આજે અહીં ન હોત 4. 25 વર્ષની ડ્રામા આર્ટિસ્ટ પ્રાચીની બીજા દિવસે સવારે લાશ મળી: ગળા પર ટૂંપો અને મોં પર ઉઝરડાના નિશાન હતા, 17 લોકોના ગ્રુપે ખંભાતમાં કરેલો શો છેલ્લો બની ગયો 5. બંગાળમાં મમતાની મંદિર રાજનીતિથી શું બદલાશે: એક વર્ષમાં ત્રણ મંદિરોનો શિલાન્યાસ-ઉદ્ઘાટન, લોકો બોલ્યા- મંદિર બનાવવાથી શું થશે 6. ભાસ્કર એક્સપ્લેનર : ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 2 એક્સ્ટ્રા બેઠકો કેવી રીતે જીતી: હવે રાજ્યસભામાં મોદી સરકારને બહુમતીથી 17 સીટ વધારે, આની શું અસર પડશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિના પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ભાસ્કર ખાસ:સિદ્ધપુરની ડુંગરીયાસણ અને દશાવાડા પંચાયતો દ્વારા 100% વેરા વસૂલાત
સિદ્ધપુરમાં સરકારી યોજનાઓનો લાભ લેવામાં ઉદાસીનતા દાખવતી ગ્રામ પંચાયતો માટે સિદ્ધપુર તાલુકાની ડુંગરીયાસણ અને દશાવાડા પંચાયતે નવો રાહ ચિંધ્યો છે. ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’ યોજના હેઠળ આ બંને પંચાયતોએ વર્ષ 2025-26 માટે 100% વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરી દીધો છે. આ સિદ્ધિના કારણે હવે આ ગામોને વિકાસકામો માટે સરકાર તરફથી પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે લાખો રૂપિયાનું વધારાનું ભંડોળ મળશે. તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તલાટીઓની ટીમે રજાના દિવસોમાં પણ ઘરે-ઘરે જઈને વેરા વસૂલાતની ઝુંબેશ હાથ ધરી ડુંગરીયાસણ પંચાયતે ₹2.57 લાખ અને દશાવાડાએ ₹6.77 લાખના લક્ષ્યાંક સામે પૂરેપૂરી રકમ વસૂલ કરી છે. ખાસ કરીને દશાવાડામાં તો 100.69% વસૂલાત નોંધાઈ છે. આ કામગીરી પાછળ તલાટી સુનિલભાઈ ત્રિવેદી અને ગ્રામજનોનો સહકાર નિર્ણાયક સાબિત થયો છે. જ્યારે સમગ્ર તાલુકાની સરેરાશ વસૂલાત હજુ 42.32% પર અટકેલી છે, ત્યારે આ બે પંચાયતોનું મોડેલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 100 ટકા વસૂલાતથી ગામને શું ફાયદો થાય છે સરકારના નિયમ મુજબ, જે પંચાયત 95% થી વધુ સફાઈ વેરો વસૂલ કરે, તેને વસૂલાતની બમણી રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે મળે છે. એટલે કે, જો તમે સમયસર વેરો ભરો છો, તો ગામની તિજોરીમાં બમણા પૈસા ( ગ્રાન્ટ) આવે છે. આ ભંડોળનો ઉપયોગ ગામના સીસી રોડ, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે કરવામાં આવે છે. સિદ્ધપુરની આ પંચાયતોમાં હવે સરકારી ગ્રાન્ટનો ધોધ વહેશે, જેનો સીધો લાભ સ્થાનિક રહીશોને માળખાકીય સુવિધાઓ સ્વરૂપે મળશે.
તમાકુ એસો.ની બેઠકમાં નિર્ણય:40 ટકા GSTના વધારાના વિરોધમાં વેપારીઓની તમાકુની ખરીદી પર બ્રેક
ઉત્તર ગુજરાતમાં રવિ પાકની સિઝન ટાણે જ મોટો વળાંક આવ્યો છે. ઊંઝાના સાઈબાબા મંદિર ખાતે તાજેતરમાં ઉત્તર ગુજરાતના તમામ તમાકુ એસોસિએશનોની મળેલ અત્યંત મહત્વની બેઠકમાં 40 ટકા જીએસટી કમરતોડ હોવાની લાગણી સાથે તમામ વેપારીઓએ કાચી તમાકુની ખરીદી પર અનિશ્ચિત સમય માટે હાલમાં બ્રેક મારી દીધી છે. કારોબારી સભ્યોની આ બેઠકમાં નક્કી કરાયું છે કે જ્યાં સુધી એસોસિએશન દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વેપારીએ માલ લેવો નહીં. આ ગૂંચ ઉકેલવા માટે દરેક એસોસિએશનમાંથી 4 થી 5 સભ્યોની એક વિશેષ કમિટી બનાવાઈ છે. આ કમિટીની આગામી નિર્ણાયક બેઠક તા.5 એપ્રિલના રોજ યોજાશે. જેમાં ખરીદી શરૂ કરવા અંગેનો આખરી નિર્ણય લેવાશે. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં કુલ 12553 હેક્ટરમાં તમાકુનું વાવેતર તૈયાર થઈ ગયું છે. ઝડપથી નિકાલ નહીં આવે તો ખેડૂતો માટે સમસ્યા {ઇડરના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે, અત્યારે માલ વેચીને લેણું ચૂકવવાનો સમય છે ત્યારે વેપારીઓ ખરીદી બંધ કરીને બેસી ગયા છે. 5 એપ્રિલ સુધી બજાર બંધ રહેશે તો અમારો માલ ઘરના આંગણે પડ્યો રહેશે. જીએસટીની મડાગાંઠ નહિ ઉકલે તો માલની ક્વોલિટી ગ્રેડીંગને અસર થઈ શકે છે. {હિંમતનગરના ખેડૂત અમરતભાઈએ જણાવ્યું કે ખેડૂતોને લગ્નની સિઝન અને આગામી ખરીફ પાકના વાવેતરની તૈયારીઓ માટે પૈસાની જરૂર હોય છે. જે આ નિર્ણયને કારણે બાધિત થશે. વળી વેપારીઓ ખરીદી શરૂ કરશે અને એકસાથે માલનો ભરાવો થશે તો પણ ભાવ નહિ મળે. {હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું કે ગંભીર સમસ્યા છે.
દુર્ઘટના:થાંભલા પર વીજ કામ કરતા કામદારને કરંટ લાગતા પટકાયો : ઝાડીમાં આગ
ગોધરાના લીલેસરા સબ સ્ટેશન પાછળ વિજથાંભલા પર કામદાર કામ કરતા દરમ્યાન અચાનક વિજપુરવઠો ચાલુ થતા કામદારને કરંટથી દાઝી જતા નીચે પટકાતા ઝાંડી ઝાખરામાં આગ લાગી હતી. ઇજાગ્રસ્ત કામદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ગોધરા શહેરના લીલેશરા સબ સ્ટેશન પાછળના વિસ્તારમાં એક આગ ઘટના બની હતી. જેમાં વીજ થાંભલા પર કામ કરતા એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો.માહિતી મુજબ, જેટકોના 220 કે.વી. સબ સ્ટેશન નજીક ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શાંતિલાલ ડામોર નામનો કામદાર વીજ થાંભલા પર ચઢીને કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક વીજ લાઈનમાં વીજ પુરવઠો શરૂ થઈ જતા તેને ઉચ્ચ દબાણનો વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો અને થાંભલા પરથી નીચે પટકાયો હતો. નીચે પડ્યા બાદ જ્યાં સૂકા ઝાડી-ઝાંખરા હતા. ત્યાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. લીલેસરા સબ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ આગ ફેલાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી લગભગ બે કલાકથી વધુ સમય સુધી મહેનત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફરિયાદ:મોરબીમાં સ્ટેમ્પ વેન્ડર પાસેથી 11 લાખના 2.43 કરોડ પડાવ્યા છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાયું
મોરબીમાં બે વ્યાજખોરોમાં જાણે સંવેદનાનો છાંટો જ ન હોય એમ માનવતા નેવે મૂકી દીધાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં સ્ટેમ્પ વેન્ડરને ધંધાની જરૂરત માટે દર અઠવાડિયે અને મહિને પાંચ ટકા વ્યાજ લેખે રૂ.11 લાખ આપ્યા બાદ બે વ્યાજખોરોએ એમનું જીવતર ઝેર કરી નાખ્યું હતું અને 11 લાખના અનેકગણા વધુ 2.43 કરોડ રૂપિયા પડાવી લીધા છતાં આ બન્ને વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું અને બન્ને વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવવા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જો રૂપિયા નહીં આપે તો તેમના સહિત પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-764 માં રહેતા અને સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.વ.60) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે સનાળા રોડ મોરબીની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે આરોપીઓ પાસેથી રોકડા 11 લાખ રૂપિયા દર અઠવાડિયે તેમજ મહિને પાંચ ટકા લેખે કુલ મળીને 2.43 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની માંગણી કરીને જો રૂપિયા નહીં આપે તો ફરિયાદી તથા તેના પરિવારને ઘરબાર વગરના કરી નાખશે તેવી ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરાઇ હતી. જેથી સ્ટેમ્પ વેન્ડર દ્વારા નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
રજૂઆત:ઊના, ગીરગઢડામાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત ઉભી થઇ
ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઉનાળો બેસતાં ની સાથે પાણી અછત જોવા મળી રહી છે. રાવલ જુથ અને મચ્છુ નદી ડેમ જુથ યોજના હેઠળ પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું કરવાં ની માંગણી સાથે ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી. સીઝનના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ-તેમ દિન-પ્રતિદિન પીવાના પાણીની સમસ્યાઓ ઉના ગીરગઢડા બંને તાલુકામા સમસ્યા’ વધતી જાય છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઉના તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓ તેમજ અન્ય ગામડાઓમાં 10 થી 12દિવસ સુધી પાણી આપવામાં આવ્યું જ નથી તેમજ ગીર પૂર્વ વન વિભાગ ગીર પશ્ચિમ વન વિભાગમાં આવતા માલધારી નેસોમાં પણ પાણીની તંગી ઉભી થઈ છે. જે અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન દોરીએ કોંગ્રેસ અગ્રણી પુંજાભાઈ વંશ એ સમસ્યા વિકરાળ બંને તે પહેલાં તંત્ર એ ઉકેલ લાવવા માંગણી કરી હતી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બન્ને તાલુકા ના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા લોકોને તેની જરૂરિયાત મુજબ માથાદીઠ નક્કી કરેલ નિયમો અનુસાર પીવા અને વાપરવા તેમજ ઢોર માટે જે પાણી મળવું જોઈએ તે નહીં મળતું હોવાથી પાણી ની સમસ્યા માટે ના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર એ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલનમાં રહીને વહેલી તકે પાણી ની સમસ્યાથી છુટકારો આપવા માંગણી કરી છે. ઊના- તાલાલાનાં ત્રણ ગામોને બાદ કરતાં ક્યાંય સમયસર પાણી મળતું નથીઉના, ગીરગઢડા તાલુકાના 124 ગામો પૈકી ઉના-દીવ જુથ યોજનામાં કુલ 34 ગામો નર્મદા આધારિત મહી પરીએજ યોજનામાં 90/1 ગામો તેમજ ચાંચકવડ જુથ યોજનામાં 3 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. ચાંચકવડ જુથ યોજનાના ત્રણ ગામોને બાદ કરતા બાકીના તમામ ગામોને સમયસર અને નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. પૂર્વ ધારાસભ્ય સહિત દ્વારા આવેદન અપાયું. તસ્વીર. જયેશ ગોંધીયા
કાર્યવાહી:મોડાસામાં વેરો ના ભરતાં 20 મિલકતદારોનાં નળ કનેક્શન કપાયા, 5 મિલકતો સીલ કરાઇ
મોડાસા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ચાલુ વર્ષે ટેક્સ વસૂલવાની કામગીરી દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ન ભરતાં 20 મિલકતદારોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તદુપરાંત છેલ્લા કેટલાય સમયથી ટેક્સ ન ભરતાં પાંચ રીઢા બાકીદારોની 5 મિલકતો સીલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા 73 ટકા ટેક્સની વસૂલાત કરવામાં આવી હોવાનું વેરા વસૂલાત વિભાગના કુંજલ પટેલે જણાવ્યું હતું. મોડાસા શહેરી વિસ્તારમાં નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા ટેક્સ વસૂલાત કરવા માટે કમર કસાઇ છે. વેરા વસૂલાત ટીમ દ્વારા ચાલુ વર્ષમાં રૂ.5.09 કરોડ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન ખૂલ્લા પ્લોટ દુકાનો શોપિંગ સેન્ટરો સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સરકારી મિલકતોની ટેક્સની બાકી યાદી વેરા વસૂલાત ટીમ દ્વારા તૈયાર કરાઇ રહી છે. વેરા વસૂલાત ટીમ દ્વારા પાછલી બાકી વસૂલાત 81.88 લાખ કરવામાં આવી છે. તેમ છતાં પણ પાછલી બાકી રકમ 5.77 કરોડ વસૂલવા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જે મિલકતદારોનો રૂ.5હજાર, 2500 કરતાં વધુ ટેક્સ બાકી છે તેવા મિલકત ધારકો પાસેથી ટેક્સ વસૂલવા તેમની યાદી તૈયાર કરાઇ રહી છે. નગરપાલિકાની વેરા વસૂલાત ટીમ દ્વારા ચાલુ બાકી ટેક્સની રકમ 7.03 કરોડ વસૂલવાના બાકી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મોડાસા નગરપાલિકામાં સમાવિષ્ટ સાબલપુર, સાયરા અને ખલીપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વેરા વસૂલાત દરમિયાન નગરપાલિકા દ્વારા નાગરિકોને ડસ્ટબિન આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મોડાસા પાલિકાએ ચાલુ વર્ષ 2025-26 દરમિયાન શહેરી વિસ્તારમાં મિલકત ધરાવતા મિલકત ધારકોને 10% રિબેટ આપવાનું જાહેર કરાતાં આ વર્ષે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં મિલકત ધારકોને 30 લાખ જેટલી માતબર રકમનું રિબેટ ચૂકવાયું છે. પાલિકાની પાછલી બાકી રકમ રૂપિયા 5.77 કરોડ થવા જાય છે જ્યારે વેરા વસુલાત ટીમ દ્વારા પાછલી વસૂલાત 81.88 લાખ ટેક્સ વસૂલ કરાયો છે.
ઠગાઈ:બોટાદમાં બેંક લોનવાળું મકાન પધરાવી દઈ રૂ.2.05 કરોડની છેતરપિંડી : 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી) અને પાટડીયા પરિવારના પાંચ સભ્યો સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઘટનાની વિગતો મુજબ, હનુભાઈ ખાચરે ઓક્ટોબર 2025માં અખબારમાં નોટિસ આપી હતી કે ગોવિંદપાર્ક સ્થિત પ્લોટ નં. 1 અને મકાન પર કોઈનો હક-હિત નથી. આ નોટિસ પર ભરોસો રાખી હિનાબેને મકાન અને બાજુનો પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ દસ્તાવેજ સમયે અને ત્યારબાદ ટુકડે-ટુકડે પોતાના ઘરેણાં વેચીને કુલ રૂ. 2.05 કરોડ હનુભાઈને ચૂકવી દીધા હતા. ત્યારબાદ નવેમ્બર અંતમાં ફરિયાદી મકાનમાં રહેવા ગયા હતા. જોકે, 16 ડિસેમ્બર 2025ના રોજ HDFC બેંકના રિકવરી સ્ટાફે ઘરે આવીને જણાવ્યું હતું કે આ મકાન પર અગાઉથી જ રૂ. 90 લાખની લોન લેવાયેલી છે, જે વ્યાજ સાથે આશરે રૂ. 97 લાખ જેટલી થાય છે. આ વ્યક્તિઓ સામે ફરિયાદ : હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી, જી. સુરેન્દ્રનગર) – મુખ્ય આરોપી (વચેટિયો) .સુનીલભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) – મૂળ માલિક/પ્રોપરાઈટર .કલ્પેશભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .હંસાબેન કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .અરૂણાબેન સુનીલભાઈ પાટડીયા (રહે. બોટાદ) .કનૈયાલાલ લાલજીભાઈ પાટડીયા (રહે. બોટાદ) નોંધ: આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી મહિલાને મકાન પરની લોન બાબતે અંધારામાં રાખી, વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી.
સૌરાષ્ટ્રનું હબ ગણાતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 16 માર્ચ, સોમવારના રોજ ઘઉં, ચણા અને જીરૂની રેકોર્ડ બ્રેક આવક થઇ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1500 જેટલા વાહનોમાં સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર, લીંબડી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતો નાના મોટા વાહનોમાં ઘઉં, ચણા, જીરું, વરિયાળી, સહિતનો પાક લઈને આવ્યા હતા. ખેડૂતોને પોતાની જણસનો પૂરતો ભાવ મળી રહે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસનો પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે છે. તેમજ માલના નાણા રોકડા મળી રહે છે અને બજાર સમિતિ તરફથી સંપૂર્ણ માલનો ત્વરિત નિકાલ થાય છે, જેથી ખેડૂતોને રાત્રી રોકાણ કરવું પડતું નથી. > મનહરભાઈ માતરીયા,ચેરમેન- એપીએમસી,બોટાદ યાર્ડમાં 1500 નાનામોટા વાહનોની કતારો લાગીસેક્રેટરીએ જણાવ્યું હતું કે, બોટાદ એપીએમસીમાં ઘઉં, ચણા અને જીરૂની રેકોર્ડ બ્રેક આવક થઇ છે. અંદાજે 1500 જેટલા નાના મોટા વાહનોની કતાર લાગી હતી, જ્યારે એક દિવસનું રૂ.10 થી 12 કરોડનું ટર્ન ઓવર થવા પામેલ છે. - અનકભાઈ મોભ, સેક્રેટરી-એપીએમસી, બોટાદ
સમસ્યા:વિકસિત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8000થી વધુ ઓરડાની ઘટ
રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓને લઇને અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે 32 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8,586 અને માધ્યમિક શાળાઓમાં 856 મળીને કુલ 9,442 ઓરડાઓની ઘટ છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઓરડાઓની ઘટ પુરવા માટે કામગીરી કરવામાં આવે છે, આમ છતાં ઓરડાની ઘટ તો રહે છે. થોડા સમય દરમિયાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગને 31 જાન્યુઆરી સુધીમાં 5,479ની ગ્રાન્ટ ફાળવી હતી, આ પૈકી 569.51 કરોડની ગ્રાન્ટ વપરાયા વગર પડી રહી હતી. ઓરડાઓની ઘટની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળામાં બનાસકાઠા જિલ્લામાં સૌથી વધારે 1,140 ઓરડાની ઘટ, છોટાઉદેપુરમાં 577 ઓરડાની ઘટ, પંચમહાલમાં 569, કચ્છમાં 553 અને ખેડામાં 524 ઓરડાની ઘટ મળીને 32 જિલ્લામાં કુલ 8,586 ઓરડાની ઘટ પડી છે. જયારે સરકારી માધ્યમિક શાળાઓમાં સૌથી વધારે મોરબીમાં 127, ભાવનગરમાં 108, કચ્છમાં 72, બનાસકાંઠામાં 62 અને અમદાવાદમાં 60 ઓરડાની ઘટ છે. શિક્ષણ વિભાગ ઓરડાઓની ઘટ પુરી કરવા ઓરડા બાંધવા માટે દર વર્ષે આયોજન કરાય છે. RTEની ફી પેટે શાળાઓને દર વર્ષે 400 કરોડથી વધારે રકમ ચુકવાઈ, ચાલું વર્ષમાં 185 કરોડ અપાયાસરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવતા દરેક વિદ્યાર્થીઓની ફી શાળાઓને ચુકવાય છે. વર્ષ 2023-24માં આરટીઇ પેટે શાળાઓને 422.52 કરોડ, વર્ષ 2024-25માં શાળાઓને રીમ્બર્સમેન્ટ પેટે રૂ. 465.90 કરોડ તેમજ 2025-26 દરમિયાન નાણાંકીય વર્ષ પુરુ થવાનું બાકી હોવાથી 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ 185 કરોડ ચુકવાયા હતા. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ અભિયાન હાથ ધરતા 38 હજાર ઓરડાની ઘટ 9,442એ પહોંચીરાજયમાં 2025 દરમિયાન 38 સરકારી શાળાઓમાં 38 હજાર ઓરડાઓની ઘટ હતી. જયારે 10 હજાર ઓરડાઓ એવી જર્જરિત હાલતમાં હતા કે તેનો ઉપયોગ થઇ શકે તેમ ન હતો. ઉપરાંત એક જ ઓરડામાં શાળાઓ ચાલતી હોય તેવી શાળાની સંખ્યા 341 હતી. એકંદરે ઓરડાઓ બાંધવા માટે રાજ્ય સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ અભિયાન હાથ ધર્યુ હોવાથી ઓરડાઓ બાંધવામાં ઝડપી કામગીરી થાય છે.
ગુજરાતમાં અંદાજે 1.25 લાખ બાળકો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આ રોગ માટે જાગૃતિ ફેલાવાતી ન હોવાથી સરકારી હૉસ્પિટલોમાં દર્દીના વિકલાંગ સર્ટિફિકેટમાં ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી’ને બદલે ‘લોકોમોટર’ લખાતું હોવાથી દર્દીને પૂરતી સહાય મળતી નથી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટીના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ જણાવે છે કે સરકાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીને મહિને રૂ. 1 હજારનું નજીવું પેન્શન આપે છે, તેની સામે મહિને રૂ. 15થી 30 હજાર ખર્ચ થાય છે. તેમાં પણ સરકારી સર્ટિફિકેટમાં ‘લોકોમોટર’ લખાતું હોવાથી હજાર રૂપિયાનું પેન્શન પણ મળતું નથી. સર્ટિફિકેટ માટે સરકારી હૉસ્પિટલોના ધક્કા ખાવા પડે છે. રૂ.1000 પેન્શનથી સારવાર શક્ય નથીપીડિત પરિવારોનું કહેવું છે કે સરકાર તરફથી મળતું માસિક ₹1000 પેન્શન અત્યંત ઓછું છે. દર્દીને નિયમિત કસરત, દવાઓ અને સંભાળ માટે રોજિંદો ખર્ચ કરવો પડે છે. જો ડોક્ટર ઘરે આવીને કસરત કરાવે તો દિવસે રૂ.500થી 600 ખર્ચ થાય છે, જ્યારે કેરટેકરને રોજના રૂ. 700થી 800 ચૂકવવા પડે છે. જેથી મોટા ભાગના પરિવારો માટે ઉઠાવવો મુશ્કેલ બની જાય છે સર્ટિમાં સુધારા કરાવવા વારંવાર હૉસ્પિટલના ધક્કા ખાવા પડે છેસિવિલ-સોલા સિવિલ હૉસ્પિટલ દ્વારા સર્ટિફિકેટમાં ‘મસ્ક્યુલર ડીસ્ટ્રોફી’ને બદલે ‘લોકોમોટર’ લખાય છે. લોકોમોટરમાં 60 ટકા દિવ્યાંગતા હોય તો સહાય મળે છે જ્યારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં 40 ટકાએ મળે છે. સર્ટિફેકટમાં સુધારા કરાવવા હોસ્પિટલોમાં વારંવાર ધક્કા ખાવા પડે છે.’ > કુશ શાહ, મસ્કયુલર ડિસ્ટ્રોફીના દર્દી સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય તો બીજી વાર બોલાવવા પડે છેઓર્થોપેડિક અને ન્યુરો વિભાગના તબીબો વિકલાંગતાને આધારે લોકોમોટર અથવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લખે, રજિસ્ટ્રેશનમાં ભૂલ થાય તો તે પ્રમાણે સર્ટિફિકેટ બને છે. સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય ત્યારે બીજી વાર બોલાવાય છે પણ ધક્કા ખવડાવતા નથી.’ > ડૉ. જગદીશ સોલંકી, આરએમઓ, સિવિલ હૉસ્પિટલ
યાજ્ઞિક પરીખ ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20% લઇ 68% જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ, રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 2196, પોલીસમાં કોન્સ્ટેબલથી લઇ આઇજી ક્લાસ સુધીની 44 હજાર, શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની 18 હજાર જગ્યાઓ ઘટ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પણ 11 માસના કરાર પર નોકરી કરી રહ્યા છે. સરકારી ભરતી કરતાં મુખ્ય ત્રણ બોર્ડ- જીપીએસસી, ગૌણ સેવા અને્ પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સ-11 માસના કરાર કે ફિક્સ પગાર પર ભરાયેલી છે. જીપીએસસીમાં 25 જગ્યા ખાલી પણ છે. રોજગાર-શ્રમ વિભાગમાં જ 2305 જગ્યા ખાલી છે. સરકારની કુલ 320 ઓફિસમાં 1.39 લાખ કર્મચારી-અધિકારી આઉટસોર્સ પર છે. સામાન્ય વહીવટ, મહેસૂલ, શહેરી વિકાસ, સ્પોર્ટ્સ, સામાજિક ન્યાય વિભાગની ગ્રાન્ટેડ સંસ્થામાં કુલ મંજૂર થયેલી 4576 જગ્યા સામે આઉટસોર્સ સહિત 10 હજાર જગ્યા ભરાયેલી છે. રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલય હેઠળની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓમાં 40 હજાર જગ્યા ખાલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે, તેમાં મોટા ભાગની કાયમી રીતે ભરવાની હોય છે. પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવી છે, તેમાં આઉટસોર્સ, 11 મહિનાના કરાર અને ફિક્સ વેતનના આધારે પણ જગ્યા ભરવામાં આવી છે. રાજ્યમાં 2006થી ફિક્સ વેતનની નીતિ લાગુ છે, જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. યુવા સૌથી વધુ તૈયારી કરે છે, તેવી જગ્યા પણ ખાલી5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાયા છે. યુવાનો સૌથી વધુ તૈયારી કરે છે, તે પદોની અનેક જગ્યા ખાલી છે. સેક્શન/નાયબ સેક્શન અધિકારીની 732, મામલતદારની 1384, રાજ્ય વેરા નિરીક્ષક/અધિકારીની 1066, નાયબ કલેક્ટરની 24, સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે. સચિવ સહિતની ક્લાસ 1- 2ની 36 ટકા જગ્યા ખાલીસરકારમાં ક્લાસ 1-2ની કુલ 64 હજારથી વધુ જગ્યા મંજૂર થયેલી છે. તેમાંથી 36% એટલે કે 24 હજારથી વધુ જગ્યા ખાલી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ-1 સચિવની 274 જગ્યાની ઘટ છે. ક્લાસ-3ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યા સામે 12% એટલે કે 86 હજારથી વધુ જગ્યા ખાલી છે. જ્યારે ક્લાસ-4ની 12 હજારથી વધુ જગ્યા ખાલી છે. આઉટસોર્સ-કરાર માટે રૂ.5255 કરોડનો ખર્ચસરકારમાં કુલ 1.39 લાખ કર્મચારી-અધિકારીઓ આઉટસોર્સ, 11 માસના કરાર કે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષે 5355 કરોડ પગાર ચૂકવાય છે. છઠ્ઠા-સાતમા પગાર પંચના 6 લાખથી વધુ સ્ટાફને 60 હજાર કરોડ પગાર અપાય છે. સરકારી કચેરીના સ્ટાફ માટે 19 હજાર કરોડ વધુ ખર્ચ થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનર 11 માસના કરાર પર!320 ઓફિસમાં 1.39 લાખનો સ્ટાફ આઉટસોર્સDGP ઓફિસના સાયબર વિભાગમાં 326 જગ્યા ખાલીરોજગાર-શ્રમ વિભાગમાં જ 2,304 જગ્યા ખાલીપેરામેડિકલ સ્ટાફમાં 5 હજારથી વધુ જગ્યા ખાલીક્લાઇમેટ વિભાગમાં માત્ર 25 જગ્યા, ભરાયેલી 16
સરકાર ઘરેલુ-કોમર્શિયલ PNG પર 15% વેટ વસૂલે છે:PNG, CNG સહિતની પેદાશો પર 2 વર્ષમાં 41 હજાર કરોડ વેટ
ગુજરાત સરકારે પીએનજી સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટ પર છેલ્લા બે વર્ષમાં 41 હજાર કરોડ રૂપિયા વેટ(વેલ્યૂ એડેડ ટેક્સ-VAT) વસૂલ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ પૂછ્યો હતો કે પીએનજી સહિતના પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કેટલો વેરો વસૂલાય છે? તેના જવાબમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ જવાબ આપ્યો હતો કે, પીએનજી પર 15%, સીએનજી પર 15% પેટ્રોલ પર 13.7% વેટ અને 4% સેસ અને ડિઝલ પર 14.9% વેટ અને 4% સેસ વસૂલાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024થી જાન્યુઆરી 2026 સુધી રાજ્ય સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર કુલ 41,493 કરોડ વેટ વસૂલ્યો છે. રાજ્ય સરકાર 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે ગુજરાત સરકાર લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે. જેમાં વ્યવસાય વેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ફી, રજીસ્ટ્રેશન ફી, મિલકત વેરો, વેચાણ વેરો, સરચાર્જ, સ્ટેટ એક્સાઇઝ, વાહન વેરો, પેસેન્જર ટેક્સ, વીજ વેરો, મનોરંજન વેરો, જીએસટી વગેરે સામેલ છે. 4 વર્ષમાં ગુજરાત સરકારની પોતે વસૂલવામાં આવતા ટેક્સની આવક બમણા જેટલી વધી છે. 2020-21માં ટેક્સની આવક 70 હજાર કરોડ રૂપિયા હતી, જે 98% વધીને 2023-24માં 1.38 લાખ કરોડ રૂપિયા થઇ છે.
દેશના લોન સિસ્ટમને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડિટ સ્કોર અપડેટનો મહત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમ લાગુ થશે તો હવે ગ્રાહકોના ક્રેડિટ ડેટા મહિને કે પખવાડિયામાં નહીં પરંતુ દર અઠવાડિયે અપડેટ થશે. આરબીઆઈએ જાહેર કરાયેલા માર્ગતદર્શિકા મુજબ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને હવે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ દર અઠવાડિયે ગ્રાહકોના ક્રેડિટ ડેટા મોકલવા પડશે. દર મહિનાની 7, 14, 21, 28 તારીખ અને મહીનાના છેલ્લે દિવસે ડેટા રિપોર્ટિંગ ફરજિયાત રહેશે. હાલમાં આ માહિતી મહિને એકવાર અથવા પખવાડિયામાં અપડેટ થતી હતી, પરંતુ નવા નિયમ લાગુ થયા બાદ ગ્રાહક દ્વારા કરાયેલા કોઈપણ બદલાવ જેમ કે હપ્તા ભરવા, નવી લોન લેવી, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવું કે એકાઉન્ટ બંધ કરવું તેની અસર તરત જ આગામી અઠવાડિયામાં સ્કોરમાં દેખાશે. આરબીઆઈએ જણાવ્યું છે કે આ નવી સિસ્ટમ 1 એપ્રિલ 2026થી અમલમાં મૂકવાનું આયોજન છે. જો તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ટેક્નિકલ રીતે તૈયાર થઈ જશે તો. આ માટે સંસ્થાઓએ પોતાના સિસ્ટમ અપગ્રેડ, ડેટા સિંક અને રિપોર્ટિંગ ફ્રેમવર્કને સાપ્તાહિક આવર્તન મુજબ તૈયાર કરવાનું રહેશે. સીબીલએ ભારતનું સૌથી જૂનું અને સૌથી વધુ જાણીતું ક્રેડિટ બ્યુરો છે. મોટાભાગની સરકારી અને ખાનગી બેંકો હોમ લોન કે પર્સનલ લોન માટે આ સ્કોરને પ્રથમ પસંદગી આપે છે. આ પદ્ધતિ બેન્ક-ગ્રાહક બંને માટે ફાયદાકારક રહેશેએપ્રિલથી લાગુ થતી નવી ક્રેડિટ સ્કોરની પદ્ધતિ બેન્ક અને ગ્રાહક બંને માટે ફાયદાકારક નીવડશે. દર અઠવાડિયે પોતાનો ક્રેડિટ સ્કોર જોઇ શકશે. તેનાથી ગ્રાહકોને સુધારેલા સ્કોરના આધારે ઝડપથી લોન અને ઓછા વ્યાજ દરનો લાભ પણ મળી શકશે. બેન્કો પણ લેટેસ્ટ ડેટા દ્વારા જોખમનું સચોટ મૂલ્યાંકન કરી શકશે. બેન્કો પાસે ગ્રાહકની લેટેસ્ટ નાણાકીય સ્થિતિ હશે જેનાથી લોન એપ્રુવ કરવામાં આસાની રહેશે. કયો ક્રેડિટ સ્કોર કેટલો પાવરફૂલ છે સ્કોર રેન્જ સ્થિતિ લોન મળવાની શક્યતા 750થી 900 ઉત્તમ સૌથી ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મળે 700થી 749 સારી લોન આપવા સકારાત્મક અભિગમ રાખે 600થી 699 સાધારણ લોન મળે વ્યાજ દર થોડો ઊંચો હોઈ શકે 300થી 599 નબળી લોનમાં મુશ્કેલી અથવા રિજેક્ટ થઈ શકે
ગંભીર બેદરકારી:મહિલા કુસ્તી ટીમ સાથે યુનિ.એ ‘મેનેજર’ તરીકે પટાવાળાને હરિયાણા મોકલી દીધો
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત વેસ્ટર્ન ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા કુસ્તી સ્પર્ધામાં ગંભીર બેદરકારી સામે આવી છે. નિયત ધારાધોરણ મુજબ ટીમના કોચ કે મેનેજર તરીકે શારીરિક શિક્ષણના અધ્યાપક જ જઈ શકે, છતાં સત્તાવાળાઓએ મેનેજર તરીકે હંગામી પટ્ટાવાળાને મોકલી દેતા ભારે વિવાદ સર્જાયો છે. યુવક કોંગ્રેસના પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદે કુલપતિને રજૂઆત કરતા જણાવ્યું કે, મહિલા ખેલાડીઓ સાથે જવાબદાર મહિલા અધિકારીને બદલે લાયકાત વગરના સેવકને મોકલવા તે સુરક્ષા સામે મોટો પ્રશ્ન છે. આશ્ચર્યની વાત એ છે કે, યુનિવર્સિટી પાસે શારીરિક શિક્ષણના 30થી વધુ અનુભવી અધ્યાપકો છે, જેમાં 10થી વધુ મહિલા અધ્યાપિકાઓ હોવા છતાં તેમની અવગણના કરીને પટ્ટાવાળાને કેમ મોકલાયા તે એક ગંભીર પ્રશ્ન છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? આ મામલે જવાબદારો સામે કડક પગલાંની માગ કરાઈ છે. નિયમ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપક જ મેનેજર બની શકે, તો પટ્ટાવાળાની પસંદગી કયા આધારે થઈ? જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો શું યુનિવર્સિટી સત્તાવાળાઓ તેની જવાબદારી સ્વીકારશે? મને કોઈ ફરિયાદ મળી નથીમને કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી, નિયત ધારાધોરણ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપકોને મોકલાયા છે. - ડો. પીયૂષ પટેલ, રજિસ્ટ્રાર
સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (આઈસીડી) ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે અદ્યતન હેવી શિડ્યુલ મેન્ટેનન્સ ડેપો 241 કરોડ ખર્ચે બનશે. પશ્ચિમ રેલવે માટે આ પ્રકારની સુવિધાવાળો આ પહેલો ડેપો હશે, જ્યાં 16 કોચની સંપૂર્ણ વંદે ભારત ટ્રેનસેટનું હેવી મેન્ટેનન્સ, રિપેરિંગ કામ એક જ સ્થળે થશે. આ ડેપો તૈયાર થયા બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં દોડતી તમામ 6 વંદે ભારતના 9 રેકનું મેન્ટેનન્સ થશે. હાલમાં પશ્ચિમ રેલવે પાસે આવી સુવિધા ન હોવાથી વંદે ભારત ટ્રેનોને મેન્ટેનન્સ માટે ઝાંસી, મટુંગા જેવા અન્ય રાજ્યોના વર્કશોપમાં મોકલવામાં આવે છે. 6 મહિનામાં શરૂ થનાર આ નવી સુવિધા બાદ સાબરમતી ડેપોમાં વંદે ભારત ટ્રેનના નિયમિત શિડ્યુલ મેન્ટેનન્સ ઉપરાંત દર 18 મહિનામાં થતું ‘એસેસ-વન - શિડ્યુલ-વન’ હેવી મેન્ટેનન્સ પણ કરી શકાશે. આ પ્રક્રિયામાં ટ્રેક્શન સિસ્ટમ, બ્રેકિંગ, ઓટોમેટિક ડોર, એચવીએસી (એસી), ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ લેવલ રિપેરિંગ કરાય છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, આ ડેપોમાં બે નવી પિટ લાઇન બનાવાશે. જેમાંથી એક પિટ લાઇન પર 8 કોચને એકસાથે સિન્ક્રોનાઇઝ્ડ જેક સિસ્ટમથી ઉપાડી બોગી, વ્હીલ સેટ, બ્રેક અને અંડરફ્રેમ ઉપકરણોનું મેન્ટેનન્સ કરી શકાશે. અત્યાધુનિક જેક સિસ્ટમથી કામ ઝડપી બનશેડેપોમાં બે નવી પિટ લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં 8 કોચને એકસાથે સિન્ક્રોનાઇઝ્ડ જેક સિસ્ટમથી ઉપાડી શકાશે. જેનાથી અંડરફ્રેમ ઉપકરણો, બોગી અને વ્હીલ સેટનું મેન્ટેનન્સ અત્યંત ઝડપી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બુધવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 20 માર્ચે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં સાંજે ઝાપટાં પડવા સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસમાં શહેરના તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થયો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન 8થી 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. અફઘાનિસ્તાન વિસ્તારમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવા સાથે ગાજવીજ તેમજ 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાથી લઇને હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હાલમાં ટ્રફની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. 18 માર્ચને બુધવારથી અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 20 માર્ચે નલિયા, ભુજમાં ગાજવીજ સાથે મધ્યમ, દાહોદમાં બપોરથી રાત્રિ સુધી ગાજવીજ સાથે અતિભારે ઝાપટાં અમદાવાદ, પોરબંદર, ભાવનગરમાં ગાજવીજ સાથે ઝાપટું પડી શકે છે. - એ.ટી. દેસાઇ, હવામાન વિશેષજ્ઞ
ભાસ્કર એક્સક્લુસિવ:વર્ષમાં 466 ગંભીર અકસ્માત છતાં 6 માસમાં રોડ સેફ્ટિની માત્ર 3 બેઠક મળી
સુપ્રીમ કોર્ટની સમિતિ ઓન રોડ સેફ્ટીના દિશાનિર્દેશ મુજબ દરેક જિલ્લામા દર 15 દિવસે ઓનલાઇન અને મહિનામાં એક વખત રોડ સેફ્ટી કમિટીની ઓફલાઇન મીટિંગ કરવી ફરજિયાત છે. જોકે અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં માત્ર ત્રણ વખત ઓફલાઇન ને એકપણ વખત ઓનલાઇન બેઠક યોજાઇ ન હતી. બેઠકમાં અકસ્માતના આંકડા, બ્લેક સ્પોટ, ટ્રાફિક નિયંત્રણ અને સર્કલ રિડિઝાઇન સહિતના એન્જિનિયરિંગને લગતા સુધારા અંગે નિર્ણય લેવાતા હોય છે. જેના આધારે માર્ગ સ્પીડ બ્રેકર, સાઇનેજ, લાઇટિંગ, ટ્રાફિક કેમેરા અને અન્ય સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ગોઠવાતી હોય છે. નિયમિત બેઠક ન યોજાતા અનેક મુદ્દાઓ પર સમયસર નિર્ણય લેવાતા નથી. શહેર અને જિલ્લામા વાહનોની વધતી સંખ્યા વચ્ચે રોડ સેફ્ટી સમીક્ષા બેઠક નિયમિત ન થવી એ માર્ગ સલામતી વ્યવસ્થાની કાર્યક્ષમતાને લઈને પ્રશ્નો ઉભા કરે છે. અમદાવાદમાં યોજાયેલ લોક અદાલતમાં છેલ્લા એક વર્ષમાં ગંભીર રીતે અકસ્માત સર્જાયું હોય અને શરીરમાં ખોડખાપણ આવ્યું હોય એવા 466 કેસ આવ્યા હતા. આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે અધિકારીઓ મોટાભાગના સમયે સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાના કારણે રોડ સેફ્ટી સહિતની મહત્વની બેઠક યોજી શકતા નથી. 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને દર મહિને બેઠક યોજવાની સૂચના અપાઈ પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેનું પાલન કરાતું નથી. કમિટીના આ સૂચનો હજુ પણ અધ્ધરતાલ છે બેઠક ન યોજાય તો પોલીસ, RTO, મ્યુનિ. અને હાઈવે ઓથોરિટી વચ્ચે તાલમેલ તૂટી જાય છે કલેક્ટર કામગીરીનું સતત ફોલોઅપ લેતા હોય છેજ્યારે પણ મહત્ત્વના મુદ્દા સામે આવે ત્યારે કલેક્ટરનો સમય માગીને બેઠક યોજાય છે. જે અધિકારી હાજર ન રહી શકે તેમના માટે ઓનલાઇન વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કલેક્ટર સતત કામગીરીનું ફોલોઅપ લેતા હોય છે. - નીરવ બક્ષી, ઇન્ચાર્જ આરટીઓ, અમદાવાદ રોડ સેફ્ટીની વેબસાઇટ પર બ્લેક સ્પોટની માહિતી પાંચ વર્ષથી અપડેટ જ કરાઈ નથીગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વેબસાઇટ પર બ્લેક સ્પોટની માહિતી 5 વર્ષ જૂની છે, તે અપડેટ કરાઇ નથી. બ્લેક સ્પોટ એટલે એ સ્થળ કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5 અકસ્માત કે 10 મોત થયા હોય. 2021માં અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 44 બ્લેક સ્પોટ હતા. આ ઉપરાંત વેબસાઇટ પર માર્ગ અકસ્માતના આંકડા પર 2023 સુધીના જ આપવામાં આવ્યા છે.
ITએ કરદાતાઓને એક જ પ્રકારની નોટિસ પાઠવી:લાખોના વેપાર સામે કરોડોનું ટર્ન ઓવર બતાવતા વેપારીઓ હેરાન
ઇન્કમટેક્સ વિભાગે તાજેતરમાં કરદાતાઓને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે તેમનું ટર્નઓવર એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને જીએસટી રેકોર્ડ સાથે મેળ ખાતું નથી, તેથી એડવાન્સ ટેક્સ ભરવાની તજવીજ કરવી. જોકે, ઘણા કરદાતાઓને તેમના વાસ્તવિક વ્યવસાય કરતા અનેકગણું વધુ ટર્નઓવર બતાવવામાં આવતા વેપારીઓ ટેક્સ કન્સલ્ટન્ટ પાસે દોડ્યા છે. આ મેસેજ શુક્રવારથી મળવાના શરૂ થયા હતા, જ્યારે એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ 15 માર્ચ હતી. શનિવાર-રવિવારે બેંકો બંધ હોવાથી ટેક્સ ભરવામાં કરદાતાઓને મુશ્કેલી પડી હતી. આ અંગે ઈન્કમટેક્સ વિભાગે આઈટી પોર્ટલ પર સ્પષ્ટતા કરાઈ છે કે આ મેસેજ માત્ર માહિતી માટે છે. કરદાતાઓએ પોતાના રેકોર્ડ ચકાસી જો ભૂલ જણાય તો ઓનલાઈન સુધારાની વિનંતી કરવાની રહેશે. હાલમાં રિકન્સિલેશનની પ્રક્રિયા તેજ બની છે જેથી ભવિષ્યની નોટિસથી બચી શકાય. એક સાથે નોટિસો મળતાં કરદાતોએ ટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં દોડી ગયા હતા.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજ અને મુન્દ્રાના 17 હજાર LPG કનેક્શન થશે રદ
વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે સરકારે ઈંધણના પુરવઠાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત કચ્છના ભુજ અને મુન્દ્રા સહિત રાજ્યના એવા ગ્રાહકો કે જેઓ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને LPG સિલિન્ડર એમ બંને સુવિધા ધરાવે છે, તેમણે પોતાનું સિલિન્ડર એજન્સી પર જમા કરાવવું પડશે. જો નિયત સમય મર્યાદામાં સિલિન્ડર સરેન્ડર કરવામાં નહીં આવે અને તપાસ દરમિયાન પકડાશે, તો સબસિડીના દુરુપયોગ બદલ ગ્રાહકને ભારે દંડ ફટકારવામાં આવશે. ભુજ અને મુન્દ્રા શહેરમાં અંદાજે 17,200 જેટલા એવા ગ્રાહકો છે જેઓ પાઈપલાઈન ગેસ હોવા છતાં LPG સિલિન્ડર પણ રાખે છે. સરકારની સ્પષ્ટ સૂચના છે કે આ ગ્રાહકોએ તાત્કાલિક પોતાનું સિલિન્ડર સરેન્ડર કરી દેવું. જે વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકોને ફરજિયાતપણે PNG પર વળવા સલાહ આપવામાં આવી છે, કારણ કે તેનો જથ્થો હાલ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. નાગરિક પુરવઠા વિભાગ વિભાગે દાવો કર્યો છે કે LPGનો પુરવઠો અવિરત રહે તે માટે સામાન્ય સાપ્તાહિક વિતરણ કરતા 20 ટકા વધુ સપ્લાય વધારવામાં આવ્યો છે. રાજ્ય પાસે હાલ પૂરતો જથ્થો છે અને નવો પુરવઠો પણ સતત મળી રહ્યો છે, જેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ભુજ અને મુન્દ્રા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય હિતમાં અને ઈંધણના સંતુલિત વિતરણમાં સહકાર આપીને જો તમારી પાસે PNG કનેક્શન હોય તો LPG સિલિન્ડર સત્વરે પરત કરી દંડની કાર્યવાહીથી બચો. ઉલ્લેખનીય છે કે કચ્છમાં PNG ભુજ અને મુન્દ્રા શહેરમાં જ ઉપલબ્ધ છે. તાજેતરમાં ગુજરાત ગેસના અધિકારીઓ સાથે વહીવટી તંત્રએ બેઠક યોજીને જે વિસ્તારોમાં શક્ય છે તે વિસ્તારોમાં PNG ગેસ સપ્લાય વધારવાની તાકીદ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના મેનુમાંથી સાઉથ ઇન્ડિયન સહિતની વસ્તુ ગાયબભુજ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે અમે સતત ડિસ્ટ્રીબ્યુટર્સના સંપર્કમાં છે, પરંતુ તેમની પાસે કોમર્શીયલ ગેસનો જથ્થો ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે એક રેસ્ટોરન્ટને દર મહિને સરેરાશ 25 થી 28 કોમર્શિયલ બોટલની જરૂરિયાત હોય છે. જે સિલિન્ડર અગાઉ માત્ર એક દિવસ ચાલતો તેને હવે કોલસાની ભઠ્ઠીઓ કે અન્ય વિકલ્પોના આધારે 2 થી 3 દિવસ ખેંચવામાં આવી રહ્યો છે. ગેસનો વધુ વપરાશ ધરાવતી વાનગીઓ જેવી કે સાઉથ ઇન્ડિયન, ઢોસા અને ચપાતી જેવી વસ્તુઓ બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ સંચાલકોને PNG લાઈન ન લેવાની ભૂલ ભારે પડીભુજ અને મુન્દ્રામાં પાઇપ્ડ નેચરલ ગેસનું નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં, ભુજની 95 ટકાથી વધુ રેસ્ટોરન્ટોમાં PNG પાઇપલાઇન લેવામાં આવી નથી. આ બેદરકારી અથવા ઉદાસીનતા આજે રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે સૌથી મોટું સંકટ બનીને ઊભી રહી છે. જો સમયસર PNG જોડાણ લેવામાં આવ્યું હોત, તો આજે કોમર્શીયલ સીલિન્ડર માટે ભટકવાનો કે મેનુમાંથી વાનગીઓ ઓછી કરવાનો વારો ન આવ્યો હોત. રેસ્ટોરન્ટ્સમાં હજુ પણ જૂની પદ્ધતિ મુજબ LPG સિલિન્ડર પર જ નિર્ભરતા રાખવામાં આવી રહી છે. પરિણામે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો, ત્યારે 95 ટકા રેસ્ટોરન્ટ્સ સંચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કનેક્શન ન લેવા પાછળ એક કારણ અંદાજે 50 હજાર જેટલી ડિપોઝીટ પણ જવાબદાર હોવાનું કહેવાઇ રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિના વૈશ્વિક પ્રભાવ વચ્ચે ભારત સહિત અનેક દેશોમાં ઈંધણ પુરવઠા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. મધ્યપૂર્વ પર આધારિત ગેસ સપ્લાયમાં અડચણો ઊભી થતા દેશના અનેક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસના ઉપયોગ પર નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ બોટલ પર રોક લાગતા સીધી અસર હવે ભુજ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ખાસ કરીને કેટરિંગ વ્યવસાય પર જોવા મળી રહી છે. ભુજમાં આવનારા મહિને ધાર્મિક પ્રસંગો, કથાઓ અને ઉત્સવોનો માહોલ રહેવાનો છે, ત્યારબાદ વૈશાખ મહિનામાં લગ્નોત્સવોની મોસમ શરૂ થવાની છે. 500 થી 3,000 લોકો સુધીના ભોજન સમારંભો માટે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ગેસ સપ્લાય અંગેની અનિશ્ચિતતાએ કેટરર્સને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વર્ષોથી કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા ધર્મેશ જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓએ લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી છે. શુભ પ્રસંગમાં ગેસ પર લાઈવ કાઉન્ટર રાખવું હવે મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. ઘણા આયોજકોને સ્પષ્ટ રીતે ના કહેવી પડે તેવી સ્થિતિ છે, એમ તેમણે ઉમેર્યું. હવે માત્ર તે જ આઈટમ બનાવવાની યોજના છે જે ઓછા ગેસમાં શક્ય બને. આ જ ક્ષેત્ર સાથે સંકળાયેલા દીપક મહારાજે જણાવ્યું કે મે મહિનાના બુકિંગ ધરાવતા ગ્રાહકોને હાલની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. એક મોટા ભોજન સમારંભમાં અંદાજે 8 થી 10 ગેસ બોટલનો વપરાશ થાય છે. જો કોમર્શિયલ ગેસ મળતો ન હોય તો ઈલેક્ટ્રીક ઇન્ડક્શન કે લાકડાના બળતણનો સહારો લેવો પડશે. ધાર્મિક કથાઓ અને મોટા આયોજનોમાં ભોજન વ્યવસ્થા ગોઠવવી પણ પડકારરૂપ બની રહી છે. જો આગામી સમયમાં કોમર્શિયલ ગેસ સપ્લાયમાં રાહત નહીં મળે તો અનેક ભોજન સમારંભો મુલતવી રાખવાના નિર્ણય લેવાઈ શકે છે. શુભ પ્રસંગોમાં આવતી આવી અડચણો કેટરિંગ ઉદ્યોગ માટે મોટું આર્થિક સંકટ સર્જી શકે છે. નાના ધંધાર્થીઓને રાંધણ ગેસનો ઉપયોગ કરવો પડે છેભુજમાં એક અંદાજ મુજબ 3000 થી વધુ લારીઓ આવેલી છે જેમાંથી અડધી સંખ્યા નાસ્તા કે ચા હોટલની કેબિનો છે જેમને ગેસની જરૂર પડે છે. કોમર્શિયલ ગેસ બોટલ સપ્લાય સંપૂર્ણ બંધ થઈ જતા રાંધણ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં પણ 30 દિવસનો નિયમ આવી જતા બુકિંગ નહીં થાય ત્યારે તે બોટલ પણ મેળવવી મુશ્કેલ પડશે. જોકે કોમર્શિયલ સપ્લાય થયો તે પહેલાથી અનેક લારીઓ પર રાંધણ ગેસ જોવા મળે જ છે. આગામી દિવસોમાં હવે કઈ રીતે નાસ્તો કે જમવાની આઈટમ બનાવવી તે પ્રશ્ન ઊભો થશે.
કચ્છ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અંજાર અને ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક અને ખેતીવાડી ક્ષેત્રના બાકીદારો સામે કડક કાર્યવાહી કરતા અંદાજે 1949 વીજ જોડાણો સ્થળ પર કાપી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં વ્યાપેલી આ ઝુંબેશમાં અંજાર વર્તુળની 132 અને ભુજ વર્તુળની 208 મળી કુલ 340 ટીમો મેદાનમાં ઉતરી હતી. ખાસ કરીને સામખિયાળી અને ભચાઉ પટ્ટામાં હાઈવે પર આવેલી હોટલો તેમજ સોલ્ટના મોટા વીજ જોડાણોને નિશાન બનાવી મોટાપાયે ડિસકનેક્શન કરવામાં આવ્યું હતું. વીજ પુરવઠો બંધ થઈ જતાં અનેક ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી અને ત્યારબાદ કચેરીએ દોડી જઈને રી-કનેક્શન ચાર્જ સાથે બાકી રકમની ચુકવણી કરવાની ફરજ પડી હતી. આ મેગા ડ્રાઈવના અંતે અંજાર વર્તુળમાં 2.09 કરોડ અને ભુજ વર્તુળમાં 3 કરોડ મળી કુલ 5.09 કરોડ રૂપિયાનું કલેક્શન સરકારી તિજોરીમાં જમા થયું છે. પીજીવીસીએલ દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આ કપાત ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે. કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે ગ્રાહકોને તેમના બાકી વીજ બિલો ઓનલાઈન માધ્યમો કે સ્થાનિક કચેરીએ તાત્કાલિક ભરી દેવા અનુરોધ કરાયો છે. આગામી સમયમાં નાના ગ્રાહકોથી લઈને તમામ પ્રકારના કનેક્શનોમાં જો બાકી રકમ હશે તો પૂર્વ જાણ વગર વીજ કપાત કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ વીજ કંપની દ્વારા કરવામાં આવી છે. ભુજમાં 84 લાખની વસૂલાત કરવામાં આવીભુજ શહેર અને તાલુકામાં 80 ટીમો દ્વારા ચેકીંગ કરીને 438 વીજ જોડાણો સ્થળ પર કાપી નખાયા હતા. જે જોડાણો કાપવામાં આવ્યા તેમની કુલ બાકી રકમ 56.7 લાખ રૂપિયા થાય છે. કુલ 862 વીજ જોડાણ ધારકોએ પોતાના બાકી બિલો ભર્યા હતા, જેના કારણે વીજ કંપનીને એક જ દિવસમાં 83.9 લાખ રૂપિયા જેવી માતબાર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેમણે દંડ કે જોડાણ કપાતથી બચવા વહેલી તકે નાણાં ભરી દેવા જોઈએ.
છેવાડાના અને દુર્ગમ ગણાતા ખડીર વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવા ગત ઓક્ટોબરમાં જાહેરાત કરીને સેદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી જે બાદ એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો અને હવે ટેન્ડર બહાર પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. નર્મદાના પૂરના વધારાના પાણીથી ખડીરના નાના-મોટા 194 તળાવો અને 6 સિંચાઈ યોજના ભરવા 451.67 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા વર્ષોથી પાણીની સમસ્યા વેઠતા ખડીર પંથકના નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે વિકાસના નવા દ્વાર ખુલશે.આયોજન મુજબ કચ્છ બ્રાંચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી લાવવામાં આવશે અને ત્યાંથી પમ્પિંગ સ્ટેશન મારફતે પાઇપલાઇન દ્વારા ખડીરના 194 તળાવો અને 6 નાની સિંચાઈ યોજનાઓ જીવંત કરવામાં આવશે. અગાઉ ભૌગોલિક વિષમતાને કારણે આ પ્રોજેક્ટ મુશ્કેલ જણાતો હતો, પરંતુ એકલ-બાંભણકા રોડ તૈયાર થવાથી હવે પાઇપલાઇન નાખવાનો માર્ગ મોકળો બન્યો છે. સુવઈ સંપથી બાંભણકા અને ત્યાંથી ધોળાવીરા તેમજ અમરાપર સુધી પાણી પહોંચાડી આખા પંથકને જળબંબોળ કરવાનું આયોજન છે.આ યોજનાથી વિશ્વ વિરાસત ધોળાવીરા સહિત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ 10 ગામોને સીધો લાભ મળશે. આશરે 5492 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવતા ખેડૂતો રવિ અને ખરીફ એમ બંને સિઝનમાં પાક લઈ શકશે. પશુધન માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા થવાથી અછતના સમયે થતું પશુપાલકોનું સ્થળાંતર પણ અટકશે. હાલમાં એજન્સી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે અને આગામી ચોમાસા પૂર્વે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ શરૂ કરવાની દિશામાં તંત્ર ગતિશીલ બન્યું છે. નર્મદાના આ નીર ખડીરની રણકાંધીએ સામાજિક અને આર્થિક પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. 40 વર્ષમાં પાણી પુરવઠાની ત્રણેય યોજના ખાડામાંભુજ : ખડીરમાં છેલ્લા 40 વર્ષથી પાણી પુરવઠા બોર્ડની કરોડોની ત્રણ-ત્રણ યોજના નિષ્ફળ જતાં લોકો હાલ 2500થી 3000 ટીડીએસ ધરાવતુ પાણી પીવા મજબૂર છે. ખડીરમાં અમરાપર સુધી પાણી આવે છે પણ ત્યારબાદ 40 કિમી દૂર ધોળાવીરા સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ છે. 35 વર્ષ પૂર્વે ચોપડવાથી ખડીર માટે પીવાના પાણીની કરોડો રૂપિયાની યોજના શરૂ થયેલી હતી. જે કકરવા, રામવાવ, બાલાસર થી ખડીર સુધી લાઈનો પાથરવામાં આવી હતી. વચ્ચે ટાંકા પણ બન્યા હતાં જે આજે પણ હયાત છે. પણ આ યોજના નિષ્ફળ ગઇ ! ત્યારબાદ સુરજબારીથી નર્મદા મૈયાની મહેરબાનીથી કચ્છને પાણી મળવાનું શરૂ થયુ તેમાંજ ખડીરને વાયા ચિત્રોડ, રાપર, બાલાસર થઈને લાઈન અપાઇ હતી. પણ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું. પાણી ખડીરમાં પ્રવેશ્યા પણ અમરાપરથી ક્યારેય આગળ ન વધ્યા ! હવે સાંપ્રત સમયમાં બાલાસરથી ખડીર નર્મદા નીર પહોંચાડવા માટે અમરાપર શીરાંવાળા રણમાં થઈને એક્સપ્રેસ લાઈન નખાઇ છે. એમાં અમરાપરથી ખડીરના વેરશીવાંઢ, ગઢડા, ગણેશપર, રતનપર, જનાણ, બાંભણકા, કલ્યાણપર,ફાફરાવાંઢ, ચાંપાર, ખારોડા, ધોળાવીરા અને ડુંગરાણીવાંઢ સુધી આ એક્સપ્રેસ લાઈન નખાઇ છે. પણ પાણી પહોંચી રહ્યું નથી.
ભાસ્કર એક્સક્લુઝિવ:દેશના યુવાનોની અવિશ્વસનીય યાત્રાનું સાક્ષી બન્યું ગુજરાત
પ્રાચીન કાળથી માનવ યાત્રા કરતો રહ્યો છે. યાત્રા ન માત્ર ભૌતિક સ્તરે નવા સ્થળો જોવાનો અવસર છે પણ સાથે માનસિક અને આધ્યાત્મિક સંતોષનું પણ સશક્ત માધ્યમ છે. યાત્રાનો ઉદેશ્ય જનજાગૃતિ, ધર્મનો પ્રસાર, પર્યાવરણ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા કે સ્વાન્ત: સુખાય પણ હોઈ શકે અને સાથે હોઈ શકે મૃત્યુ પર જીવનનો વિજય. આ યાત્રા એ માત્ર પ્રવાસ નથી કે જ્યાં કોઈ વિશેષ પ્રયોજન હેઠળ એકથી બીજા સ્થળે જવાની ક્રિયા સમાયેલી છે પણ આ યાત્રા ખુદના અસ્તિત્વને દિશા આપવાની, જીવનને યાદગાર બનાવવાની, અનુભવ અને યાદોના વિશેષ સંભારણા એકત્ર કરવાની છે. વાત છે, દેશના અલગ અલગ રાજ્યના યુવાનોની કે જેઓ નીકળી પડ્યા ભારત ભ્રમણ યાત્રા પર. વગર કોઈ આયોજને, પૈસા અને કોઈના સાથ વિના. જેમાં એક સાહસિક સ્કેટિંગ દ્વારા 700 દિવસથી ફરી રહ્યો, તો એક જીવદયાપ્રેમી દોઢ વર્ષથી પોતાના પાલતુ શ્વાન સાથે સાઇકલ યાત્રા કરી રહ્યો, અન્ય એક ભક્ત મહાદેવની અંતઃસ્ફુરણાથી નીકળી પડ્યો છે 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે, તો એક શિક્ષણપ્રેમી ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષણ જાગૃતતાના વ્યાપને વધારવા, તો એક યુવાન હૃદયની બીમારીની જાણ થતા મૃત્યુ પર જીવનના વિજયને કાયમ કરવા માટે નીકળી પડ્યો છે. હાલે આ બધા ગુજરાતમાં છે! હિમાચલ પ્રદેશ : કૈલાસ માનસરોવરથી અંતઃસ્ફુરણા જાગીહિમાચલ પ્રદેશના 24 વર્ષીય બાકી નામનો યુવાન 12 જ્યોતિર્લિંગ યાત્રા અને આધ્યાત્મિક ક્ષેત્ર અધ્યયન માટે નીકળ્યો છે. 2500 કિમી પગે તો 2500 કિમી સુધી લોકોએ સામેથી લિફ્ટ આપી, એમ કરીને પાંચેક હજાર કિમી કાપ્યા છે. આ યાત્રા પૂર્વેની યાત્રામાં કૈલાસ માનસરોવરે જળ ભર્યો ત્યારે અંતઃસ્ફુરણા જાગી અને જાણે મહાદેવે કેદારનાથ પહોંચવા આદેશ કર્યો હોય. 38 દિવસ સુધી 1414 કિમી ઉઘાડા પગે કાપી સંકલ્પ પૂર્ણ કર્યો. ક્યાંકને ક્યાંક આ જ યાત્રાની અસરના લીધે 6/1/2026ના ફરી યાત્રા માટે સપનું આવ્યું અને 7/1ના જાગીને એ જ સ્થિતિમાં નીકળી પડ્યો, માતા પિતાની અનુમતિ સાથે. મંદિર, હોટેલમાં નિઃશુલ્ક કે સસ્તા ભાવે રહેવાની વ્યવસ્થા થઈ જાય તો ક્યારેક રોડ પર પણ રાત નીકળે છે.ગુજરાત બાબતે કહ્યું કે અહીંની રહેણી કહેણી, ખાનપાન, બાજરાની રોટલી, સંસ્કૃતિ, લોકોના સ્વભાવ અદ્ભુત છે અને ગુજરાતથી જ્ઞાન પ્રાપ્ત કર્યાની અનુભૂતિ કરી છે. પ્રેમાનંદ મહારાજ અને માતા પિતાની કૃપા અને એમના જ આશીર્વાદથી સ્વયંની ખોજ સાથે આ યાત્રામાં ક્રોધ પર નિયંત્રણ, દયા ભાવના, દરેક જીવ સાથે પ્રેમ કરતા શીખ્યો અને ભગવાન માનવ અંદર જ સ્થાપિત છે એ અનુભૂતિ પામી. કચ્છ : 12 જ્યોતિર્લિંગ યાત્રા લિફ્ટ માંગી કરીકચ્છના ભચાઉ તાલુકાના વિજપાસર ગામના 24 વર્ષીય દિનેશ સાલાણી દસ મહિના પૈસા વિના દેશભરમાં પ્રવાસ કરી ઘરે પરત ફર્યો છે. તેણે 12 જ્યોતિર્લિંગ, ચાર ધામની યાત્રા સાથે 13 રાજ્યો અને નેપાળમાં પણ લિફ્ટ માંગી અને પગપાળા પ્રવાસ કર્યો છે. અકસ્માતમાં મોઢા પર ઈજા આવી, એક વાર દાંત પણ તૂટી ગયો. ક્યારેક વરસાદમાં તકલીફ પડી તો ક્યાંક ઠંડીમાં હેરાનગતિ ભોગવવી પડી પણ યાત્રા ક્યારેય સ્થગિત કરી ન હતી. દિનેશની યાત્રા ફક્ત ધાર્મિક કે સાહસિક યાત્રા નથી, તે શ્રદ્ધા, વિશ્વાસ અને માનવતાનું જીવંત ઉદાહરણ છે. કચ્છી યુવાને સાબિત કર્યું છે કે જ્યારે આત્મવિશ્વાસ સાથે પગલાં લેવામાં આવે છે, ત્યારે ગંતવ્ય ખુદ માર્ગ બતાવે છે. કેરળ : શ્વાન સાથે 5 વર્ષની યાત્રાજીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરળના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝાના 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયને દોઢેક વર્ષમાં 22,000 હજાર કિલોમીટર કાપ્યા બાદ એના 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી સાથે કચ્છ પહોંચ્યો છે. 2018ના કેરળના ભયાનક પૂરે પ્રભાવિત કર્યો અને નિજાનંદ, આત્મસંતોષ અને દેશની સંસ્કૃતિ જીવવા પાંચ વર્ષની સાયકલ યાત્રા પર નીકળી પડ્યો. મધ્યપ્રદેશ : સ્કેટિંગ સાથે 700 દિવસમધ્યપ્રદેશના રુદ્રકુમાર પટેલ ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વિના સ્કેટિંગના સથવારે 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરવા સાથે સમગ્ર ભારતના ભ્રમણ માટે નીકળ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતની યાત્રા પૂર્ણ કરી આગળના રાજ્ય તરફ વધવા સાથે 700 દિવસ પૂર્ણ કર્યા છે. આ યાત્રા હજુ પણ ચાલી રહી છે. તે સનાતન ધર્મ અને ગૌરક્ષાનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યો છે. અનેક વખત રસ્તામાં પડવા સાથે રોજના અંદાજે 80 કિમી કાપે છે. મહારાષ્ટ્ર : શિક્ષણ માટે 35 હજાર કિમી ફરશેમૂળ યુપી અને બાળપણથી મહારાષ્ટ્ર સ્થાયી વિકાસ ચૌરસિયા (મુસાફિર)એ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ જાગૃતિ માટે ‘ વ્હીલ્સ ફોર એજ્યુકેશન’ નામે સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. તેમનું માનવું છે કે જો પરિવારમાં એક વ્યક્તિ પણ સુશિક્ષિત છે તો એ એની સમગ્ર પેઢીને દરિદ્રતાથી તારવી શકે છે. રસ્તામાં આવતા ગામોની શાળાઓની મુલાકાત લઈ શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે અને મોટા ભાગનો રોકાણ મંદિર કે ધાર્મિક સંસ્થાનોમાં કરે છે. કચ્છમાં પણ તેમણે વિવિધ ગામની શાળાઓની મુલાકાત લીધી હતી તેમજ કચ્છની હસ્તકળાની પ્રશંસા, સફેદ રણથી લઇને રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડ : 18 હજાર કિમી પગે કાપી નાખ્યાઉત્તરાખંડના ગ્રેજયુએટ યુવક ચંદુ કાર્કી ખાનગી નોકરી છોડીને નીકળી પડ્યો છે પગે પગે નિજાનંદ અને આત્મસંતોષ માટેની યાત્રા માણવા. દેશની સંસ્કૃતિ અને વૈવિધ્યતા જાણવા અઢી વર્ષમાં 18 હજાર કિમીની પગે ચાલીને યાત્રા પૂર્ણ કરી છે. હાલે ગુજરાતના તમામ રાજ્યોમાં ત્રણેક મહિના વિતાવશે. ટેન્ટ, ખાવાની થોડી સામગ્રી અને કપડા સાથે ફરતા ફરતા ક્યારેક મંદિર કે પેટ્રોલ પંપ પર રોકાણ કરે છે પણ ગુજરાત બાબતે ખાસ ભાર આપીને જણાવ્યું કે અહીંના લોકો ખૂબ પ્રેમાળ છે. ગુજરાતમાં ક્યાંય પણ રહેવા-જમવાની તકલીફ પડતી નથી. અહીં, સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે તે સ્થળે પહોંચ્યા બાદ લોકો દ્વારા એમના ઘરે જ રોકાણ માટે આગ્રહ કરવામાં આવે છે. હરિયાણા : હૃદયના દર્દીની જિંદગી જીવી લેવાની યાત્રાહૃદયના દર્દી 26 વર્ષીય કુલદીપ બિશ્નોઈને જ્યારે ડોક્ટરોએ કહી દીધું કે તમે આ સ્થિતિમાં ઓછા સમય માટે જીવશો એટલે સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું છે અને ઓપરેશન ખૂબ ક્રિટીકલ રહેશે, જેમાં બચવાની સંભાવના ઓછી પણ રહી શકે છે. ત્યારે હરિયાણાના આ યુવાને બધાથી મોહ ત્યાગીને મૃત્યુને હરાવવા માટે સાયકલથી ભારત ભ્રમણ માટેનો સંકલ્પ બાંધી બેઠો. 1/1/2026થી શરૂ કરેલી આ યાત્રામાં રોજના 70-80 કિમી સાથે હાલે 3600 કિમી કાપ્યા છે. જે હજી ચારેક વર્ષ ચાલશે. તેમણે જણાવ્યું કે, બિશ્નોઈ હોવાના કારણે જીવ જંતુ, પ્રકૃતિ, જાનવરો પ્રત્યે પ્રેમના કારણે પર્યાવરણ સંરક્ષણ બાબતે દેશવાસીઓને જાગૃત કરી રહ્યો છું. પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે વ્યસનમુક્તિનો સંદેશો પણ ફેલાવી રહ્યો છું. લગ્ન માટે પણ પરિવારને મનાઈ કરી છે. મોટે ભાગે મંદિર, ધર્મશાળા તો અમુક સ્થળોએ ઘરે રહેવાની વ્યવસ્થા થઈ જાય છે. ક્યારેક કોઈ જમાડી દે, ક્યારેક એમને એમ ચાલે તો ક્યારેક ખુદના ખર્ચે. મોટા ભાગના સ્થળોએ લોકો દાનમાં કે સહકારની ભાવના સાથે રૂપિયા આપતા પણ સાંજ પડતા પડતા એ તમામ રૂપિયા પશુ પક્ષીઓના આહાર માટે ખર્ચ કરી દઉં છું. આ યુવાનોમાં વહી રહી છે આધ્યાત્મિકતાની નદીરાજસ્થાનના શ્રીગંગાનગર યુવાન સંદીપ સિંહ 22 રાજ્ય ફરી ચૂક્યો છે. તો હાલ, સાયકલ પર સમગ્ર રાજસ્થાનના પ્રવાસે છે. મધ્યપ્રદેશના ખંડવાના લાલાગીરી મહારાજ નામના સાધુ બાર જ્યોતિર્લિંગની યાત્રા સાથે નેપાળના પશુપતિનાથ સુધીની પગે પગે યાત્રા કરી રહ્યા છે. અયોધ્યાનો યુવાન શિવમ સાયકલ પર બાર જ્યોતિર્લિંગ સાથે 52 શક્તિપીઠની ધાર્મિક યાત્રા પર છે તો કોલકાતાથી હૃતિક પાખી પણ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની સાયકલ યાત્રા પર છે.
ઉદ્યોગો પર સંકટ:ડિઝલ સપ્લાય બંધ થવાથી શિપિંગ ઉદ્યોગ, ટ્રેડ જગતમાં ચિંતા
હાલમાં ચાલી રહેલા અખાતી યુદ્ધના સંદર્ભમાં દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ, કંડલા ખાતે ડીઝલ સપ્લાયમાં થયેલી અચાનક ખોટને કારણે સમગ્ર શિપિંગ ઉદ્યોગ તથા ટ્રેડ જગતમાં ચિંતાની લાગણી વ્યાપી રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોર્ટ સાથે સંકળાયેલા યુઝર્સ, કાર્ગો હેન્ડલિંગ ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ પાસેથી મળતી રજુઆતોના આધારે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. અત્યાર સુધી ખાનગી સપ્લાયર્સ પાસેથી ડીઝલ પ્રાપ્ત થતું હતું, પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાતાં આ સપ્લાય અચાનક બંધ થઈ ગયો છે, જેના પરિણામે પોર્ટના રોજિંદા કામગીરી પર ગંભીર અસર થવાની શક્યતા ઉભી થઈ છે. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ડીઝલ એ પોર્ટ માટે લાઇફ્લાઇન સમાન છે. ક્રેન્સ, જનરેટર્સ, ટ્રક્સ, ટ્રેલર્સ, ડમ્પર્સ, લોડર્સ, એક્સ્ટ્રાવેટર્સ સહિતના તમામ સાધનો સંપૂર્ણપણે ડીઝલ ૫૨ આધારિત છે. ડીઝલ સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા પોર્ટની અંદર કાર્ગો લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે, જેનાથી માત્ર પોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના ટ્રેડ પર અસર પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવના૨ા દિવસોમાં મોટી સંખ્યામાં વહાણો પોર્ટ પર આવવાના છે અને જો સમયસ૨ ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો આ સમગ્ર ચક્ર ખોરવાઈ શકે છે, જેનાથી કાર્ગો ઇવેક્યુએશનમાં વિલંબ તથા ઉદ્યોગોને જરૂરી કાચા માલના પુરવઠામાં અવરોધ સર્જાશે. ઉલ્લેખનીય છે કે, દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ નિર્ધારિત સમય પહેલા 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ આંકડો વધુ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી. આવી સિદ્ધિના સમયમાં જ ઉભી થયેલી આ ડીઝલ સંકટની પરિસ્થિતિ સમગ્ર પ્રગતિના ચક્રને અટકાવી શકે છે તેવું ગાંધીધામ ચેમ્બર દ્વારા ગંભીરતાથી દર્શાવવામાં આવ્યું છે. આ મુદ્દે ચેમ્બર પ્રમુખ તેજા કાનગડ દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટી ના ચેરમેન સુશીલ કુમાર સિંઘને સત્તાવાર પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત તેમના અધ્યક્ષ સ્થાને ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની ગંભીરતા રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પોર્ટ યુઝર્સ, ટ્રાન્સપોર્ટર્સને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર દ્વારા માંગ કરવામાં આવી છે કે, સંબંધિત ઓઈલ કંપનીઓ અને સત્તાવાળાઓ સાથે સંકલન કરીને પોર્ટ સંબંધિત કામગીરી માટે ખાસ ડીઝલ સપ્લાય વ્યવસ્થા અથવા નીતિ ઘડવામાં આવે, જેથી પોર્ટની કામગીરી અવિરત રીતે ચાલુ રહી શકે. ચેમ્બરે આશા વ્યક્ત કરી છે કે, તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવશે, જેથી દેશના મહત્વપૂર્ણ ગેટવે પોર્ટ પર સર્જાયેલ આ સંકટનો ઝડપી નિવારણ આવી શકે અને ટ્રેડ તથા ઉદ્યોગોને વધુ નુકસાનથી બચાવી શકાય. ભારે નુકસાન સહન કરવું પડી શકેમાનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયામાં પોર્ટ યુઝર્સે સ્થાનિક રિટેલ આઉટલેટ્સ ૫૨થી ડીઝલ મેળવી કામગીરી સંભાળી હતી, પરંતુ હવે ત્યાંથી પણ સપ્લાય બંધ થતાં પરિસ્થિતિ વધુ જ ગંભીર બની ગઈ છે. આ સમસ્યા માત્ર પોર્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, આયાત-નિકાસ તેમજ નાના વેપારીઓ સુધી તેની અસર પહોંચશે. ખાસ કરીને દેશભરના ઉદ્યોગો જે કંડલા પોર્ટ મારફતે કાચા માલ અને આવશ્યક ચીજવસ્તુઓ પર આધાર રાખે છે, તેમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.
ડિજિટલનો દુરુપયોગ:ગાંધીધામના ટ્રેઇલરની ખોટી નંબર પ્લેટ લગાવી 47 હજારની ઠગાઈ
ગાંધીધામ શહેરના આદિપુર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સે ટ્રેઈલરની ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનના વિવિધ હાઈવે પરથી પસાર થઈ હજારો રૂપિયાનો ઓનલાઇન ટોલ ટેક્સ કપાવ્યો છે. એટલું જ નહીં પરંતુ નેશનલ પરમિટ ન હોવાના કારણે લાખો રૂપિયાનો દંડ પણ મૂળ માલિકના શિરે આવ્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરના ફરિયાદી લલિતભાઈ કિશનભાઈ નાથાણીએ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથેકે અજાણ્યા આરોપી સહીત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદની માલિકીની પ્રાચી હેન્ડલિંગ નામની ટ્રાન્સપોર્ટ કંપનીનું ટ્રેઈલર નંબર જીજે 39 ટીએ 4300 ને આરોપીએ નિશાન બનાવ્યું હતું. ગત નવેમ્બર 2025 થી માર્ચ 2026 દરમિયાન આ ટ્રેઈલર જ્યારે મુંદ્રા, મોરબી કે થાનગઢ જેવા વિસ્તારોમાં હતો ત્યારે રાજસ્થાનના દેશનોક, દાદલ, જેતપુર અને સાંગરિયા ટોલનાકા પરથી આ જ નંબરની પ્લેટ ધરાવતું વાહન પસાર થતું હતું. જેના કારણે લલિતભાઈના બેંક ખાતામાંથી અવારનવાર ઓનલાઇન ટોલ ટેક્સ કપાયો હતો. રાજસ્થાન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ટ્રેઇલર પાસે નેશનલ પરમિટ ન હોવાના કારણે ત્રણ અલગ-અલગ ચલણો દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબતે જ્યારે ફરિયાદીએ તપાસ કરી અને બેંક દ્વારા મેળવેલા ફોટા જોયા ત્યારે કોઈ અજાણ્યા ઇસમે તેમના ટ્રેઈલરની ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવી પોતાના વાહન પર લગાવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નિર્દોષ વાહન માલિકો ગંભીર ગુનામાં ફસાય તેવી ભીતિકચ્છમાં જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તેમાં જો આ રીતે વાહનનો નંબર બદલીને ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વ્યવસાયકારોને મોટું નુકસાન થઇ શકે છે. આવા કિસ્સાઓમાં નિર્દોષ વાહન માલિકો ગંભીર ગુનાઓમાં પણ ફસાઈ શકે છે. આ મોડસ ઓપરેન્ડીથી કોઈ ગંભીર અકસ્માત સર્જે કે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરે, તો અસલી માલિકે જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે. આ ઘટના લાલબત્તી સમાન કિસ્સો છે.
યુદ્ધની અસર:કચ્છમાં LPG સિલિન્ડર બુક કરાવનારા 10 પૈકી માત્ર 4 ગ્રાહકોને મળે છે સમયસર બોટલ
પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર અત્યારે ભારતના રસોડા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત સરકાર ભલે રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો હોવાના અને પુરવઠામાં ૨૦ ટકાનો વધારો કર્યા હોવાના મોટા-મોટા દાવા કરતી હોય, પરંતુ કચ્છ જિલ્લાની જમીની હકીકત સરકારના આ બણગાંની પોલ ખોલી રહી છે. કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી એલપીજી સિલિન્ડરની માંગમાં તોતિંગ વધારો થયો છે, જેની સામે તંત્ર પાસે પુરવઠો પૂરો પાડવાની કોઈ જ સંગીન વ્યવસ્થા દેખાતી નથી. ગ્રાહકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરી રહ્યા છે, અને જે બુકિંગ કરાવે છે તેમને પણ લાંબુ વેઇટિંગ સહન કરવું પડી રહ્યું છે. મંગળવારના ડેટા મુજબ, કચ્છમાં કાર્યરત ત્રણેય મુખ્ય સરકારી ગેસ કંપનીઓમાં કુલ 38,684 ગ્રાહકોએ સિલિન્ડર માટે બુકિંગ કરાવ્યું હતું. આ આટલા મોટા બુકિંગ આંકડાની સામે તંત્ર પાસે વિતરણ માટે માત્ર 16,075 સિલિન્ડરનો જ જથ્થો હાજર હતો. જો કંપનીવાર આંકડા જોઈએ તો, IOCL કંપનીમાં 21,484 ગ્રાહકોએ બુકિંગ કરાવ્યું હતું, જ્યારે BPCL માં 8,902 અને HPCL કંપનીમાં 8,298 ગ્રાહકોએ નોંધણી કરાવી હતી. આ 38 હજારથી વધુ ગ્રાહકોની સામે તંત્ર પાસે અડધો જથ્થો પણ ઉપલબ્ધ નહોતો. ભલે તંત્ર એમ કહેતું હોય કે 14,854 સિલિન્ડર હજુ ‘આવક’માં છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે ગ્રાહકના ઘરમાં ચૂલો સળગાવવા ગેસ નથી ત્યારે આ કાગળ પરની ‘આવક’ ક્યારે જનતા સુધી પહોંચશે ? હાલની પરિસ્થિતિનું ચિત્ર એટલું ભયાનક છે કે દર 10 ગ્રાહકો પૈકી માત્ર 4 ગ્રાહકોને જ સમયસર ગેસનો બાટલો મળી રહ્યો છે, જ્યારે બાકીના 6 ગ્રાહકોને સીલીન્ડર માટે રાહ જોવી પડી રહી છે. હાલ કોમર્શીયલ સીલીન્ડરનો સપ્લાય બંધ કરી દેવાયો છે. ત્યારે LPG ગેસની માંગમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 6 દિવસમાં માગમાં 17,767નો વધારો તારીખ બુકિંગ ઉપલબ્ધ બોટલ 12 માર્ચ 20,917 12,959 17 માર્ચ 38,684 16,075 તંત્ર દ્વારા કેરોસીનની માંગણી જ નથી કરાઈરાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. રાજ્ય સરકારે જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લામાં જરૂરીયાત પ્રમાણે કેરોસીનની માંગણી કરવાનો આદ્દેશ કર્યો છે. જો કે કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હજુ કેરોસીન માટે માંગણી કરી નથી. લોકો હવે ગેસ અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે લોકો પાસે હવે કેરોસીનથી ચાલતા સ્ટવ જ નથી. જેથી જો ગ્રાહકોને કેરોસીન આપવામાં પણ આવે તો તેનો સદઉપયોગ થાય તેવી શક્યતા ઓછી છે. આ અંગે હજુ તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન:કટોકટી વચ્ચે હેમખેમ આવેલું ‘નંદાદેવી’ મધરાતે વાડિનાર પહોંચ્યું
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કટોકટી વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે મોટા રાહતના સમાચાર છે. ભારતીય ધ્વજવાળું જાયન્ટ LPG જહાજ ‘નંદાદેવી’ મંગળવારે વહેલી પરોઢે 2:30 વાગ્યે 46,500 મેટ્રિક ટન ગેસના જંગી જથ્થા સાથે જામનગરના વાડિનાર બંદરે સુરક્ષિત પહોંચી ગયું છે. હાલ આ જહાજ બંદરથી 5 નોટિકલ માઈલ દૂર એન્કરેજ એરિયા (મધદરિયે) લાંગરવામાં આવ્યું છે, જ્યાં સુરક્ષાના તમામ માપદંડો સાથે ગેસના ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફરનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મધર વેસલ ‘નંદાદેવી’માંથી ગેસનું વહન કરવા માટે ડોટર વેસલ ‘BW Birch’ પણ સાઇટ પર પહોંચી ચૂક્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં ફેન્ડર્સ (બે જહાજ દરિયામાં અથડાય નહીં તે માટેની રક્ષણાત્મક વ્યવસ્થા) અને અન્ય જરૂરી સાધનો ગોઠવી દેવાયા હતા. બપોરે 3 વાગ્યાની આસપાસ બંને જહાજોને એકબીજાની સમાંતર ગોઠવીને મધદરિયે જ ગેસ ટ્રાન્સફર ઓપરેશનનો પ્રારંભ કરી દેવાયો છે. હાલમાં આ ગેસના જથ્થાને મધદરિયે જ બીજા જહાજમાં ટ્રાન્સફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ‘શિપ-ટુ-શિપ’ ટ્રાન્સફર પ્રક્રિયા પ્રતિ કલાક 1,000 ટનની ઝડપે કરવામાં આવે છે, જેના કારણે આ આખું ઓપરેશન પૂર્ણ થતા આશરે બે દિવસ જેટલો સમય લાગશે. ગેસ લોડ કર્યા બાદ જહાજ ભારતના પૂર્વ કિનારે આવેલા એન્નોર (તમિલનાડુ) અને હલ્દિયા (પશ્ચિમ બંગાળ) બંદરો પર આ જથ્થો પહોંચાડવા રવાના થશે ક્રૂડ ઓઈલ ભરેલું ‘જગ લાડકી’ પણ સહી-સલામતશિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાના સત્તાવાર નિવેદન અનુસાર, 81,000 ટન મુરબન ક્રૂડ ઓઈલ સાથે UAE થી નીકળેલું જહાજ ‘જગ લાડકી’ પણ ભારત તરફ સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે. ઈરાન અને ભારતીય નેવીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન સફળ : જહાજના ચીફ ઓફિસર‘નંદાદેવી’ જહાજના ચીફ ઓફિસરે આ સફળ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું હતું કે, હોર્મુઝની ખાડી જેવી અત્યંત જોખમી અને યુદ્ધગ્રસ્ત કટોકટીમાંથી પસાર થવા માટે ભારત અને ઈરાનની નેવીએ તેમને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તેમજ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ પહેલથી 46,500 મેટ્રિક ટન ગેસ સુરક્ષિત રીતે ગુજરાત લાવી શકાયો છે. તેમણે ઉમેર્યું કે, “આ જથ્થો વિશ્વવ્યાપી LPG કટોકટી અને ભારતમાં ઉભી થનારી અછતને હળવી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.” પોર્ટ ઓથોરિટી દ્વારા નાવિકોનું સન્માનહોર્મુઝની ખાડી જેવા અત્યંત જોખમી જળમાર્ગ પરથી પસાર થઈને આવેલા કેપ્ટન અને ક્રૂ મેમ્બર્સ સાથે પોર્ટના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી હતી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) ના ચેરમેન સુશીલ કુમાર સિંહે જણાવ્યું કે, “જહાજના તમામ નાવિકો ખુશ અને સંપૂર્ણ સુરક્ષિત છે. અમે તેમને મળીને આટલો મોટો જથ્થો હેમખેમ ભારતના કિનારે લાવવા બદલ તેમનો આભાર માન્યો છે.
કચ્છને દેશના અન્ય ભાગો સાથે જોડતા રેલવે માર્ગો પર મુસાફરોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા ‘કવચ 4.0’ સિસ્ટમનું ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા કચ્છના મહત્વના રેલવે માર્ગો જેવા કે અમદાવાદ-સામખિયાળી અને પાલનપુર-સામખિયાળી-ગાંધીધામ સેક્શનમાં આ અત્યાધુનિક સ્વદેશી સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ ટેકનોલોજીના અમલીકરણ બાદ ટ્રેનોની અથડામણ જેવી મોટી દુર્ઘટના ભૂતકાળ બની જશે અને મુસાફરોની સુરક્ષામાં નવો સીમાચિહ્ન સ્થાપિત થશે. પાલનપુર- સામખિયાળીથી ગાંધીધામ સુધીના 300 કિલોમીટરના રેલવે સેક્શનમાં અંદાજે રૂ. 182.81 કરોડના ખર્ચે કવચ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે, જ્યારે અમદાવાદથી સામખિયાળી સુધીના 402 કિલોમીટરના સેક્શનમાં રૂ. 410.10 કરોડ ખર્ચવામાં આવશે. તાજેતરમાં આ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કલોલ અને ગાંધીનગર વચ્ચે કરાયું હતું, જેમાં બે એન્જિનને એક જ ટ્રેક પર સામસામે અને આગળ-પાછળ ચલાવીને ચકાસણી કરાઈ હતી. આ પરીક્ષણમાં જ્યારે બંને ટ્રેન ચોક્કસ અંતરે આવી ત્યારે સિસ્ટમે આપમેળે બ્રેક લગાવી હતી, જેનાથી ટક્કર થતી અટકી ગઈ હતી. કચ્છના રેલવે માર્ગો પર ટાવર અને ટ્રેક સાઈડ ઉપકરણો નાખવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. કવચ સિસ્ટમ આપોઆપ લગાવે છે બ્રેકકવચ એ ભારતની પોતાની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમમાં આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં ટ્રેક પર ટેગ લગાવવામાં આવે છે અને એન્જિનમાં લાગેલા રીડર દ્વારા ટ્રેનની સચોટ લોકેશન અને સ્પીડની જાણકારી મળે છે. જો ક્યારેય લોકો પાયલટ ભૂલથી સિગ્નલ ઓળંગે અથવા ટ્રેક પર બીજી ટ્રેન હોય, તો આ સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવી દે છે અને હોર્ન વગાડી ચેતવણી આપે છે.
તપાસ:મસાલા મિલના એકાઉન્ટન્ટની 14 કરોડ ઠગી માલિકને3 ઓફર,મહિને 2 લાખ આપું, મરી જાઉં કે જેલ જાઉં?
સરદાર એસ્ટેટમાં આવેલી ઉમિયાજી મસાલા મીલના એકાઉન્ટન્ટે 14 કરોડની ઉચાપત કરી હતી. જે ઓડિટમાં પકડાઈ ગઇ હતી. ગભરાયેલા એકાઉન્ટન્ટે માલિકને ચીઠ્ઠી લખી ત્રણ ઓફર આપી હતી. જેમાં કાં તો હું તમને દર મહિને 2 લાખ રૂપિયા આપું, મરી જાઉં અથવા જેલમાં જવાનું કહ્યું હતું. તેણે તેમ પણ લખ્યું હતું કે, હું શેરબજાર ટ્રેડિંગમાં રૂપિયા હારી ગયો છું, પત્ની તેમજ બે છોકરીઓની સામે જોઈ કાર્યવાહી કરવા વિનંતી છે. માલિક કલ્પેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવતા એકાઉન્ટન્ટની શોધખોળ હાથ ધરાઇ છે. ખોડિયારનગર માધવ રેસિ.માં રહેતો રાકેશ પરમાર મીલનું 12 વર્ષથી ખાતુ સંભાળે છે. ઓડિટમાં 2023થી 2026 સુધીમાં સપ્લાયરનું પેમેન્ટ ડયુ થયું હોય અને એડવાન્સ પેમેન્ટ કરવાનું હોય એમાં 14.09 કરોડની ઉચાપત કર્યાનું જણાયું હતું. ફેક્ટરીના ખાતામાંથી પોતાના એચડીએફસી અને બીઓબીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. બાપોદ પીઆઇ એમ.કે.ગુર્જરે જણાવ્યું કે, અન્યની સંડોવણી, કોલ ડિટેઇલ મગાવી છે. જીરોધા ટ્રેડિંગ એપમાં 9.60 કરોડ ગુમાવી દીધા હતાઉમિયાજી મસાલા મીલ દ્વારા એકાઉન્ટના કામ માટે એકાઉન્ટન્ટને બે કોમ્પ્યુટર આપવામાં આવ્યા હતા. જેમાં રાકેશે જીરધા એપ ડાઉનલોડ કરી હતી. જેમાં આઇડી-IG7920 રાકેશે મેળવી હતી. જેમાં છેલ્લા બે વર્ષમાં રાકેશે 9.60 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. પરંતુ ઉચાપત કુલ 14.09 કરોડની થઈ છે. જેના કારણે બાકીના 5 કરોડ ક્યાં ઉડાવ્યા એવો સવાલ ઉભો થયો છે. 3 વર્ષમાં દર વર્ષે ~4 કરોડથી વધુની ઉચાપત કરતો હતોઉમિયાજી મસાલા મીલ માંથી 14 કરોડની ઉચાપતની બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાકેશે 2023-24માં નવયોગ ટ્રેડર્સના નામે ખોટી ખરીદી દર્શાવી હતી. જેમાં 3.84 કરોડની ઉચાપત હતી. જ્યારે 2024-25માં અમરનાથ ટ્રેડિંગ કંપનીના નામે ખોટી રીતે 6.9 કરોડ રૂપિયા દર્શાવ્યા હતા. એવી જ રીતે 2025-26માં પણ 5.15 કરોડ ખોટી રીતે દર્શાવ્યા હતા.
હ્યૂમન રાઈટ કમિશનમાં કમિટીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે મૂકેલા ચોથા રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સપાટી પર આવી છે. કમિટીએ વર્ષ 2017, 2019 અને 2021માં કરેલા સરવેમાં 13 સ્થળોએ નદીના વિસ્તારમાં કાટમાળ ઠલવાયો હોવાનું જાહેર કર્યું હતું. જોકે 12થી વધુ જગ્યાએ ઠલવાયેલો અંદાજિત 12 હજાર મેટ્રિક ટનથી વધુનો કાટમાળ મેના પ્રથમ સપ્તાહ સુધી કાઢી લેવા તાકીદ કરી છે. સાથે કમિટીએ ગંભીર શબ્દોમાં કહ્યું કે, વિશ્વામિત્રીમાંથી કાટમાળ નહીં હટાવાય તો વાઇડનિંગનો ખર્ચ માથે પડશે. હ્યૂમન રાઈટ કમિટીએ ચોથો રિપોર્ટ સબમિટ કર્યા બાદ તેને જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વડસર અને જાંબુઆ લેન્ડફિલ સાઇટને કારણે વિશ્વામિત્રીમાં પ્રદૂષણ વધી રહ્યું હોવા સાથે 38 સ્થળેથી ગટરનાં પાણી સીધાં નદીમાં ઠલવાતાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટમાં હ્યૂમન રાઇટ કમિટીના સભ્યોએ 2017, 2019 અને 2021માં કરેલા સરવે મુજબ વિશ્વામિત્રી નદીની કોતરો અને પૂર વિસ્તારમાં 13 જગ્યા પર કાટમાળ ઠાલવવામાં આવ્યો છે. જે અંદાજિત 6150 મેટ્રિક ટન જેટલો છે, જેને કાઢવા માટે પાલિકાને અગાઉ સૂચન કરાયું હતું. જોકે તાજેતરમાં મળેલી બેઠકમાં હ્યૂમન રાઇટ કમિટીના સભ્યોએ વિશ્વામિત્રીના પૂર વિસ્તારમાં વધુ 12થી વધારે સ્થળો શોધી કાઢ્યાં છે, જ્યાં અંદાજિત 12 હજાર મેટ્રિક ટનથી વધુ કાટમાળ ઠલવાયો છે. જેને મેના પહેલા સપ્તાહ સુધીમાં કાઢી લેવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. તદુપરાંત આ અંગેની માહિતી આગામી પાંચમા રિપોર્ટમાં મૂકવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. કમિટીએ આ કાટમાળ અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કાટમાળને ત્વરિત હટાવી દેવામાં નહીં આવે તો વિશ્વામિત્રી નદીના વાઈડનિંગ માટે કરવામાં આવેલો તમામ ખર્ચ માથે પડશે. નદીના પૂર વિસ્તારની મિલકતો ફાઇનલ પ્લોટ આપી હટી શકેતાજેતરની ક્રેડાઈ સાથેની બેઠકમાં કમિટીએ વિશ્વામિત્રી નદીમાં થયેલાં બાંધકામોને હટાવવા માટેની પોલિસી બનાવવા અંગેની ચર્ચા કરી હતી. કમિટીએ આ અંગે સૂચન કર્યું હતું કે, નદીના પૂર્વ વિસ્તારમાં બાંધકામોને કેવી રીતે હટાવવાં તે માટે ફ્રેજ આઉટની પોલિસી બનાવવી જોઈએ. તદુપરાંત નવો કોઈ પણ પ્રોજેક્ટ કે બાંધકામ ન થવું જોઈએ. જે પણ મિલકત નદીના પૂર વિસ્તારમાં બાંધવામાં આવેલી છે તે તમામ મિલકતોને અન્ય તરફ ફાઇનલ પ્લોટ ફાળવી આપવો જોઈએ અને આ જગ્યાએ રિક્રિએશનલ એક્ટિવિટી થવી જોઈએ. 2017, 2019, 2021માં થયેલા સરવેનો રિપોર્ટ સ્થળ જથ્થો(ટનમાં) અટલાદરા 52 અકોટા 876 વુડા પાસે 26 સમા ભરવાડ વાસ 26 ભીમનાથ બ્રિજ 1-2 288 ભીમનાથ બ્રિજ 3 988 સમા ચેતક બ્રિજ 5 કાલાઘોડા 23 મુજમહુડા 1, 2 524 નરહરિ બ્રિજ નજીક 772 સમા મંગલ પાંડે રોડ 158 સિદ્ધાર્થ બંગલો પાસે 698 વડસર 1 10 વડસર 2 669 કુલ 6150
છેતરપિંડી:અમદાવાદની યુવતીએ શહેરના તબીબને હની ટ્રેપમાં ફસાવી 6 લાખની ઠગાઇ કરી
અમદાવાદની યુવતીએ શહેરના વૃદ્ધ તબીબને હની ટ્રેપમાં ફસાવી 6.10 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ કપુરાઇ પોલીસમાં નોંધાઈ છે. નકલી પોલીસ બની મહિલા સાથે ડ્રગમાં ફસાવી દેવાની ધમકી આપી તબીબને માર મરાયો હતો. બાદમાં છોડી દેવા તબીબ સાથે બેંકમાં જઈ રૂ.6.10 લાખ પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તબીબે ફરિયાદમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં અમદાવાદની 27 વર્ષીય કૃપાલી પટેલ સાથે સંપર્ક બાદ પ્રેમ સંબંધ બાંધવાની ઓફર કૃપાલીએ કરી હતી. મળવા વડોદરા આવવાની તૈયારી કરી હતી. 4 ફેબ્રુઆરીએ કૃપાલીએ અન્ય સાથે મળી કાવતરું રચ્યું હતું. તબીબને આજવા ચોકડી બોલાવી કૃપાલી તેમની કારમાં બેસી ગઈ હતી. નાસ્તો કરવાના બહાને કેનાલ પાસે કાર થોભાવી હતી જ્યાં 4 ઇસમ પોલીસ હોવાની ઓળખ આપી અંદર બેસી ગયા હતા. કૃપાલી ડ્રગ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી તબીબને પણ સંડોવાયેલા હોવાનું જણાવી માર માર્યો હતો. છોડી દેવા નકલી પોલીસે 5 લાખની માંગ કરી હતી. જે બેન્કમાં જઈ ઉપાડીને આપતા તબીબનો છુટકારો થયો હતો. બાદમાં તબીબે નકલી પોલીસ અને હની ટ્રેપ કરનારી કૃપાલી સામે કપુરાઇ પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમાં કૃપાલી, મહાદેવ, પ્રકાશ અને અન્ય બે સામે ગુનો નોંધાયો છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. તબીબે 5 લાખ હાલમાં નહીં હોવાથી બેંકમાંથી રકમ ઉપાડવા માટે જણાવ્યું હતું, નકલી પોલીસ તબીબ સાથે બેંકમાં ગઈ હતી.જ્યાં ખાતામાં વધારે રકમ જોતા નકલી પોલીસે 6 લાખ રૂપિયા ઉપાડી લેવા દબાણ કર્યું હતું. તબીબે આ રકમ ઉપાડી નકલી પોલીસને આપી હતી. આ દરમિયાન કૃપાલી પણ સાથે હતી. બાદમાં નકલી પોલીસ અને યુવતીને આજવા ચોકડી છોડી રવાના થયા હતા. યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાવી નકલી પોલીસે તબીબની પાસે વધારે રકમની માગણી કરી4 ફેબ્રુઆરીએ નકલી પોલીસ બની તબીબ પાસેથી 6 લાખ પડાવ્યા હતા.બાદમાં 9 માર્ચે ફરી નકલી પોલીસ તબીબના ઘરે પહોંચી હતી. જેમાં કૃપાલીએ આત્મહત્યા કરી છે, તમે યુપીઆઈથી ચૂકવેલા 10 હજારની તપાસ કરવાની છે અને તમારું નિવેદન લેવાનું છે એવું કહી નકલી પોલીસે કેસ પતાવવા વધુ રકમની માંગ કરી હતી. જેનો તબીબે ઇનકાર કર્યો હતો.
ભાસ્કર એક્સક્લુઝિવ:મુસ્લિમ પરિવારમાં ‘સિરાજ’ તરીકે ઉછેર,હિન્દુ હોવાની જાણ થતાં ‘હાર્દિક’ બનવા અરજી
ભાગ્ય રેખા, સમય અને સંજોગો જેવી જિંદગીની સશક્ત પટકથા કોઈ લખી શકતું નથી અને સંજોગો ઘણીવાર મોડ લે છે. મૂળ હિન્દુ પરિવારના અનાથ બાળકને અપનાવી લેવાની, ઉછેરવાની, તેને નામ આપવાની માનવતા એક મુસ્લિમ પરિવારે બતાવી. પછી સમય આવ્યે પ્રામાણિકપણે પંડના સંતાનની માફક ઉછેરેલા અને યુવાનીમાં પ્રવેશેલા એ યુવકને, તેના મૂળ ધર્મની એટલે કે મૂળ હિન્દુ હોવાની જાણ કરી. હવે એ યુવાને પોતાના મૂળ હિન્દુ ધર્મમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે ધર્માંતરણને લઇને વિવાદ સર્જાતો હોય છે. ધર્મ પરિવર્તન માટે ધર્મ બદલનારાએ સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. જેના માટે સરકારી પ્રક્રિયામાંથી ફરજિયાત રીતે પસાર થવું પડે છે. વડોદરા કલેક્ટર કચેરીમાં ઇસ્લામ ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરનારા મોહંમદ સિરાજ ગુલદીન અંસારીએ રજૂ કરેલા સોગંદનામા તેમજ પોલીસે આપેલા અભિપ્રાય સહિતના પુરાવા દિવ્ય ભાસ્કરે મેળવ્યા હતા. જેમાં મહંમદ સિરાજ ગુલદીન અંસારીએ મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવા સયાજીગંજ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનો જન્મ સુરત શહેરના મીઠીખાડી પાસે આવેલા આંબેડકર નગર (લિંબાયત)માં થયો હતો અને તેનાં માતા-પિતા તે જ્યારે 5 વર્ષનો હતો ત્યારથી છોડીને જતાં રહ્યાં હતાં. જેથી આંબેડકરનગરના ભંગારનો ધંધો કરનારા ગુલદીન અંસારીએ તેનું પાલન પોષણ કરીને મોટો કર્યો હતો. યુવાનીમાં મોહંમદ ગુલદીન અંસારીએ સિરાજને કહ્યું હતું કે, તેના પિતાનું નામ ગુલજારીલાલ પટેલ હતું અને તેમનો પત્તો આજદિન સુધી મળ્યો નથી. 2016 સુધી સિરાજ તેના પાલક અબ્બા ગુલદીન સાથે ભંગારના ધંધામાં સાથે રહ્યા હતા. હિન્દુ ધર્મમાં જોડાવવા માટે કરેલી અરજી સંદર્ભે મારું નિવેદન લેવાયું હતુંઅલકાપુરીના સલૂનમાં સિરાજે નોકરી કરી હતી. તેણે આધારકાર્ડની નકલ પણ આપી હતી, જેમાં સુરતનું સરનામું હતું. સિરાજે હિન્દુ ધર્મમાં જોડાવવા કરેલી અરજી સંદર્ભે મારું નિવેદન પોલીસે લીધું હતું.4 માસથી તે નોકરી કરતો નથી. તેનો મોબાઇલ બંધ છે. > વિમલ પટેલ,મેનેજર, સલૂન,વડોદરા ધર્મ પરિવર્તન માટે પૂર્વ પરવાનગી લેવા અરજી કરી હતી, બીજું કંઈ યાદ નથીસિરાજ અંસારી હિન્દુ ધર્મ અપનાવવા માટે આવ્યો હતો. ધર્મ પરિવર્તન માટે સિરાજે અનાથ હોવાનું કારણ આપ્યું હતું. હાલમાં હું ઉત્તર પ્રદેશમાં છું અને જે તે વખતે ધર્મ પરિવર્તન માટે પૂર્વ પરવાનગી લેવા માટે અરજી કરી હતી. બીજું મને યાદ નથી. - નારાયણ પ્રસાદ મિશ્રા, આર્ય સમાજ ચેરિ. ટ્રસ્ટ હિન્દુ ધર્મમાં વધુ આસ્થા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ
સમતામાં 12 વર્ષનો બાળક અન્ય ફ્લેટના રહીશની કારને નુકસાન કરતો હતો. જે તેના પાડોશી જોઈ ગયા હતા. જેથી પાડોશીઓ ફરિયાદ કરશે અને માતા-પિતા માર મારશે તેવા ડરથી તે ઘરેથી નીકળી ગયો હતો અને તે ફરતો-ફરતો ગોરવાની ચાઇનીઝની લારીએ પહોંચ્યો હતો. જ્યાં તેણે કામ માગ્યું હતું. જોકે લારીધારકે સૂઝબૂઝ વાપરી પોલીસને જાણ કરી હતી અને ત્યાંથી લક્ષ્મીપુરા પોલીસને બાળક મળ્યો હતો. સમતામાં રહેતા વૃદ્ધે રાત્રે 1 વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશમાં જાણ કરી હતી કે, 10 વાગ્યાના અરસામાં મારો 12 વર્ષનો પૌત્ર સોસાયટીમાં રમતો હતો, તે પછી ઘરે આવ્યો નથી. પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તેમના વિવિધ ગ્રૂપમાં તેની જાણકારી મોકલી હતી, સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. આખરે મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ગોરવામાંથી બાળક મળ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે, બાળક તેની બાજુના ફ્લેટની કારને રમત-રમતમાં નુકસાન કરી રહ્યો હતો. તેની આ હરકત પાડોશી જોઈ ગયા હતા. બાળકને લાગ્યું કે, પાડોશી પિતાને ફરિયાદ કરશે અને પિતા વઢશે અને માર મારશે. જેથી ડરને ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપ્યો હતો સાથે પરિવારને પણ સમજાવ્યા હતા. બાળકને તમામ બાબતો પ્રેમથી સમજાવવી જોઈએમાતા-પિતાએ બાળકને ડરાવી ન રાખવા જોઈએ. બાળકને પ્રેમથી તમામ વસ્તુ સમજાવવો. બાળક માતા-પિતા સાથે ખૂલીને વાત કરી શકે તેવું વાતાવરણ રાખવું જોઈએ. > જી.ડી.રાજપૂત, પીઆઈ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન
આરોગ્ય વિભાગમાં ફરિયાદ:ચોખંડીના લોટઘરમાંથી લીધેલા લોટના પેકેટમાંથી ઉંદર નીકળ્યો
ચોખંડી સ્થિત લોટઘરના ઘઉંંના લોટના પેકેટમાં ઉંદર નીકળતાં મહિલાએ પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.વાડીની વચલી પોળમાં રહેતાં અલ્પાબહેન છડિયાએ કહ્યું કે, લોટઘરમાંથી ગુરુવારે લોટનું પેકેટ લાવી હતી. મંગળવારે પતિ માટે ટિફિન બનાવવાનું હોવાથી તે લોટનું પેકેટ ખોલ્યું ત્યારે તે ગંધાતું હતું. 2 દિવસથી ગંધ મારી રહી હતી. લોટના પેકેટમાં ઉંદરની પૂંછડી દેખાઈ હતી. મને લાગ્યું કે, તે સૂતળી હશે. બધો લોટ કાઢ્યો ત્યારે મોટો ઉંદર બહાર પડ્યો હતો. આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. ગ્રાહક શું કરી શકે છે જો કોઈ ખાદ્ય વસ્તુમાં જીવ-જંતુ નીકળે તો ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ફરીયાદ કરી શકો છો. FSSIની વેબસાઇટ foscos.fssai.gov.in પરમાં ફરિયાદ થઈ શકે. પાલિકાના ફુડ એન્ડ ડ્રગ્સ શાખામાં લેખિત ફરિયાદ કરી શકો છો. જો આર્થિક કે શારીરિક તકલીફ થઈ હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં વળતર માટે દાવો કરી શકાય.
ટક્કર:બરોડા ડેરીની આજે ચૂંટણી: ડેસર સહિત 4 ઝોનમાં 325 મતદાર ડિરેક્ટરોને ચૂંટશે
બરોડા ડેરીનીમાં 4 ઝોનમાં 8 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી યોજાશે. જેમાં 4 ઝોનમાં કુલ 325 મતદારો મત આપીને ડેરીના ડિરેક્ટરો ચૂંટશે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે દ્વારા મંગળવાર સાંજે 4 વાગે ડેરી ખાતે પહોંચી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. જ્યારે 18 માર્ચે બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. તે પછી મત ગણતરી ચાલુ થતાં સાંજે 5 વાગ્યા પહેલાં રિઝલ્ટ આવી જશે. બરોડા ડેરીના 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી યોજાશે. જ્યારે 1, 2, 4, 5, 7, 9, 10, 11 અને 13 નંબરના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ થયા છે. ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકી અને પ્રમુખ દિનુમામા બિનહરીફ થઈ ચૂક્યાં છે. 18 માર્ચે ચૂંટણી યોજાય તે પહેલાં 9 માર્ચે ચૂંટણી અધિકારીએ હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચૂંટણીમાં ડેસર બેઠક પર સૌથી વધુ ધ્યાન રહેશે. આ બેઠક પર સુરપાલસિંહની સામે કુલદીપસિંહ રાઉલજી વચ્ચે કાંટાની ટક્કર મનાય છે. સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થતાં જ મતદારો મત આપવા પહોંચી જશે.
ભાસ્કર એક્સક્લુઝિવ:દુર્ગંધથી આઝાદી, 10 હજાર લોકોનું ઇ-મેલ અભિયાન
જાંબુઆ લેન્ડફિલ સાઈટની દુર્ગંધથી કંટાળી 128 સોસાયટીના 10 હજાર લોકોએ સરકાર અને સ્થાનિક તંત્ર સામે ઈ-મેલ કેમ્પેન શરૂ કર્યું છે. જેમાં પાલિકા દ્વારા અનપ્રોસેસ્ડ કચરો લેન્ડફિલ સાઈટમાં ઠાલવતાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી હોવાની ફરિયાદ કરાઈ છે. મંગળવારે સોસાયટીઓના સમૂહથી બનેલા ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસો. દ્વારા મુખ્યમંત્રી, જીપીસીબી, મ્યુ. કમિશનર, મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્ન્મેન્ટ એન્ડ ફોરેસ્ટને ઇ-મેલ કર્યા છે. જ્યારે 1 હજાર ઈ-મેલ કરવાનું અભિયાન છે. મકરપુરા, તરસાલી, જાંબુઆ, વડદલા સહિતનાં ગામોના રહેવાસીઓ 15 વર્ષથી દુર્ગંધની સમસ્યાથી ત્રસ્ત છે. ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસો.ના પ્રમુખ સુરેશ પાલામેલે કહ્યું કે, જાંબુઆ સાઈટ પર પાલિકા દ્વારા પ્રોસેસિંગ કર્યા વગર કચરાનું ડમ્પિંગ કરતાં લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016નું ઉલ્લંઘન કરી પ્રોસેસિંગ કર્યા વગર કચરો ડમ્પિંગ કરાઈ રહ્યો છે. ઈ-મેલ કેમ્પેનિંગ કરી મંગળવારે તંત્ર અને સરકારના વિવિધ વિભાગમાં 50 ઇ-મેલ કર્યા છે. મ્યુ. કમિશનરને તાત્કાલિક પગલાં લેવાં અપીલ કરી છે. ગરમીથી દુર્ગંધ ફેલાય છે, કેમિકલ સ્પ્રે કરાય છેગરમી વધતાં દુર્ગંધ આવવાનું ચાલુ થયું છે. દુર્ગંધને દૂર કરવા માટે લેન્ડફિલ સાઈટ પર કેમિકલનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે, જેથી દુર્ગંધ આવવાનું દૂર થઈ જશે. > સ્વપ્નીલ શુક્લ, ઈજનેર, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ નાગરિકોને તાજી હવા મળવી મુશ્કેલ બની છેલેન્ડફિલ સાઈટ પરથી દુર્ગંધ એટલી તીવ્ર આવે છે કે તાજી હવા મળવી મુશ્કેલ છે. દિવસ-રાત દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. કચરાનું વર્ગીકરણ કરી ડમ્પિંગ કરવો જોઈએ. > સુધાંશુ બ્રહ્મા, મહાસચિવ, ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસોસિયેશન બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફદુર્ગંધથી બાળકો-વૃદ્ધોને શ્વાસમાં તકલીફ પડી રહી છે. ઉપરાંત માથાના દુખાવા સહિતના આરોગ્ય પ્રશ્નો થઈ રહ્યા છે. મચ્છરોનો ત્રાસ વધ્યો છે. પ્રદૂષણનો ખતરો વધી રહ્યો છે. > મંજેશ કુમાર, ખજાનચી, ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસોસિયેશન સ્થાનિકોની માગ 1 જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર અનપ્રોસેસ્ડ કચરો નાખવાનું બંધ કરવું 2 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016 મુજબ કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરવું 3 દુર્ગંધ તેમજ પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવી 4 જાંબુઆ સાઇટ પરથી કચરાનો ડુંગર ઝડપથી હટાવાય
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ છે. ઠગ ઓફીસ તાળું મારીને ફરાર થઈ ગયો છે અને ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ઠગ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હરીશ જશુભાઈ ચૌહાણે મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો. પોતાની ઓફિસ મારફતે તેમણે પોતે વડોદરા મહાનગરપાલિકામાં એજન્ટ હોવાનો દાવો કરીને પ્રોસેસિંગ માટે રૂપિયાની માંગણી કરી હતી. જાન્યુઆરી 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 1.83 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપીએ મકાન ફાળવણીના ખોટા કાગળો અને પાવતી આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ ડિસેમ્બર 2025 સુધીમાં મકાન આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ સમય પસાર થયા છતાં મકાનનો કબજો ઠગ દ્વારા આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ તેમણે અને તેમના પતિ સાથે ઠગની ઓફિસ પર પહોંચતા ઓફિસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી તેમણે તપાસ કરી હતી. આ હરીશ ચૌહાણે અન્ય 15 લોકોને સાથે રૂપિયા લઇ લીધા હતા પરંતુ મકાન અપાવ્યું ન હતું. હરીશ ચૌહાણે 16 લોકોને આવાસ યોજનામાં મકાન અપાવવાનો ખોટો વાયદો કરીને તેમની પાસેથી રૂ. 40.17 પડાવી લીધી હતું અને મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો બનાવી પધરાવી દીધા હતા. વર્ષાબેન સહિત અન્ય 15 લોકોએ આરોપી હરીશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જતો હોવાથી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલે હીટસ્ટ્રોક અને તેનાથી સંબંધિત ઇમર્જન્સીના દર્દીઓ માટે વિશેષ વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 20 બેડનો વોર્ડ તાત્કાલિક શરૂહોસ્પિટલના તંત્ર દ્વારા ઇમર્જન્સી મેડિસિન વિભાગના ઉપરના માળે હીટસ્ટ્રોક દર્દીઓ માટે અલગ 20 બેડનો વોર્ડ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે. જરૂર પડે તો આ બેડની સંખ્યા વધારવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે તેવું હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઆ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં ઝડપી વધારો થયો છે. આ કારણે ડિહાઇડ્રેશન, ચક્કર, બેહોશી જેવા લક્ષણો સાથે હીટ સંબંધિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ વિશેષ વોર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહહાલમાં આ વોર્ડમાં એક પણ દર્દી દાખલ નથી પરંતુ તબીબની સલાહ છે કે લોકોને અતિશય ગરમીમાં બહાર નીકળતી વખતે પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે.
ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ગાંધીનગરના નિવૃત સચિવના મહાઠગ પુત્ર નીરવ અને પુત્રવધુ મીરા દવેના કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે 33 કરોડે પહોંચી ચૂક્યો છે. આ ઠગાઈમાં હજી પણ નામાંકિત બિલ્ડરો, ડોકટરો અને વેપારી સહિત ભોગ બનનાર 17 જેટલા લોકો સામે આવે તો ઠગાઇનો આંકડો 80 કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. એવામાં હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ પણ ઝંપલાવતા સમગ્ર કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કરોડોની ઠગાઈના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. EDએ ભોગ બનનાર વેપારીઓને ઇન્વેસ્ટમેન્ટ માટેના નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારીને એક મહિનાનું અલ્ટીમેટમ આપતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર શાતિર મહાઠગ નીરવ દવે સહિત તેના નિવૃત નાયબ સચિવ પિતા અને પુત્ર જેલની હવા ખાતા ખાતા જામીન પર છૂટવા માટેના હવાતિયા મારી રહ્યાં છે. મહાઠગની પત્ની ભૂર્ગભમાં ઉતરી ગઈ!બીજી તરફ શરૂઆતથી જ મહાઠગની પત્ની મીરા દવે રહસ્યમય રીતે પોલીસને હાથતાળી આપી ભૂર્ગભમાં ઉતરી ગઈ છે. જેથી ભોગ બનનાર વેપારીઓની પૈસા પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. પિતા અને પુત્ર સાથે મહાઠગ નીરવ જેલમાંગાંધીનગરના સેક્ટર-23માં રહેતા મહાઠગ દંપતિએ રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો બનાવી અનેક વેપારીઓને કરોડોનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ પ્રકરણમાં મહાઠગ નીરવ તેના નિવૃત નાયબ સચિવ પિતા મહેન્દ્ર અને પુત્ર યજત સેન્ટ્રલ જેલમાં રહી જામીન મેળવવા હવાતિયા મારી રહ્યાં છે. 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો આ સમગ્ર ઠગાઈની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી.અમદાવાદના વેપારી ભાવિકભાઈ પટેલ સાથે નીરવ દવેનો પરિચય વર્ષ 2004માં થયો હતો. એ વખતે નીરવ ઇન્ફોસિટીમાં એરટેલની એજન્સી ચલાવતો હતો. આ પરિચયના વિશ્વાસે વર્ષ 2023માં નીરવે વડનગરના શર્મિષ્ઠા તળાવના મેન્ટેનન્સનું નકલી ટેન્ડર બતાવી ભાવિકભાઈ અને તેમના મિત્રો પાસેથી 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો હતો. સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કરીને 20.70 કરોડ પડાવ્યાત્યારબાદ આ સિલસિલો અટક્યો ન હતો. નીરવે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે તેણે ભાવિક પટેલના સાળા અને અન્ય સંબંધીઓ પાસેથી કુલ 20.70 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવ્યોઆ સિવાય મહાઠગ દંપતીએ ઇન્ફોસિટીમાં ગેસ એજન્સી ચલાવતા દર્શનભાઈ રામીને પણ શિકાર બનાવ્યા હતા. નીરવ અને તેની પત્ની મીરાએ સુરત મહાનગર પાલિકાના 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવી વર્ક ઓર્ડર બતાવી દર્શનભાઈ પાસેથી 1.12 કરોડથી વધુની રકમ પડાવી હતી. તો નીરવની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ પણ પોતાના મકાન વેચાણના 24 લાખ રૂપિયા આ ઠગાઈમાં ગુમાવ્યા છે. નિરવ દવેનો પુત્રએ ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતોઆ મામલે પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત દવે ડિજિટલ એડિટિંગનો ઉપયોગ કરતો હતો. યજત અસલી સરકારી પત્રો મેળવી લેપટોપમાં તેમાં ફેરફાર કરી પોતાની પેઢીનું નામ લખી ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો હતો. જેને જોઈને રોકાણકારો વિશ્વાસમાં આવી જતા હતા. ઇન્વેસ્ટમેન્ટના નામે 33 કરોડ ખંખેર્યાજ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નાયબ સચિવ તરીકે નિવૃત થયા હોવાના વિશ્વાસે રોકાણકારો પણ સરકારી પ્રોજેક્ટમાં તગડો નફો લેવાની ફિરાકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા હતા. આમ વર્ષ 2016થી 2025 દરમિયાન આ આખા પરિવારે મળીને ટુકડે-ટુકડે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જેનો પોલીસ ચોપડે આંકડો 33 કરોડ પહોંચી ગયો છે. EDએ રોકાણકારોને નોટિસો ફટકારી આ ઠગ દંપતીની ઠગાઈનો આંકડો કરોડો રૂપિયા હોવાનું શરૂઆતથી જ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હવે ઠગાઈ આંકડો 33 કરોડ પહોંચતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. EDએ હવે રોકાણકારોને નોટિસો પાઠવી એક મહિનાનું એલ્ટિમેટ આપી કરોડો રૂપિયાના હિસાબો રજૂ કરવા આદેશ આપ્યો છે. આમ હવે ભોગ બનનાર રોકાણકારો ડુબેલા પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયાં છે. શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતાજેના પગલે રોકાણકારો ઇડીને શું જવાબ આપવો એની મુઝવણમાં આવી ગયા છે. આ પ્રકરણમાં હજી પણ 17 જેટલા રોકાણકારો કરોડો ડૂબ્યા હોવા છતાં ખુલીને સામે આવ્યા નથી. કેમકે આ એવા રોકાણકારો છે જે સરકારી ટેન્ડરની લાલચ માં બ્લેકના કરોડો રૂપિયા રોકાણ કરી ચુક્યા છે. જેમાં શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતા. ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમઆ બિલ્ડરની સ્કીમમાં નીરવ દસથી બાર પૈસાનો ભાગીદાર હતો. બાદમાં નિરવે સરકારી ટેન્ડરોની લાલચ આપી હતી. જેના વિશ્વાસે બિલ્ડરે બ્લેકની એન્ટ્રીના રૂપિયા નીરવને રોકાણ માટે આપી દીધા હતાં. તો નિરવે આ રકમ વ્હાઇટ એન્ટ્રીમાં કન્વર્ટ કરી દીધી હતી. એટલે બિલ્ડર કરોડો ગુમાવીને પણ ચુપ છે. આવી જ હાલત ડોક્ટરો અને અન્ય વેપારીઓની થઈ છે. જો આ ભોગ બનનાર પણ સામે આવેતો ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમ છે. કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથીબીજી તરફ નીરવની પત્ની મીરાની પણ માયાજાળમાં ફસાયેલા ભોગ બનનાર વેપારીઓ પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયા છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં દવે પરિવારના બેંકના આર્થિક વ્યવહારો પણ ચકાસી લેવાયા છે પણ કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથી. મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છેઆ અંગે ભોગ બનનાર વેપારીઓનું કહેવું છે કે, નીરવ ગાંધીનગર કોર્ટ મુદ્દતે આવે ત્યારે પત્ની મીરાને સાઈડમાં રાખશો તો જ બહાર આવીને રૂપિયા પરત કરશે તેવી શરતો મુકી રહ્યો છે. નિરવ અને તેની પત્નીએ ઠગાઇના રૂપિયા ક્રિપ્ટો અને વિદેશમાં રહેતા પરિચિતોને હવાલા મારફતે મોકલી દીધા છે. જો મીરા હાથમાં આવે તો આ કરોડો રૂપિયાના સગળ મળી જાય એમ છે. પરંતુ આટલો સમય વિત્યા પછી પણ એકમાત્ર મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છે.
રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 IAS અધિકારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ કારણે વિવિધ વિભાગોમાં કામગીરી અવિરત રહે તે માટે અધિકારીઓના ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ તાત્કાલિક વ્યવસ્થા અમલમાં રહેશે. સુરત મ્યુ. કમિશનરની જવાબદારી સુરત કલેક્ટર સંભાળશેપરિપત્ર મુજબ, રૂપવંત સિંહ (MD, GMDC)નો વધારાનો ચાર્જ ડૉ. ટી. નટરાજન (ACS, નાણાં વિભાગ) સંભાળશે, જ્યારે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપનો કાર્યભાર આરોગ્ય કમિશનર સંધ્યા ભુલ્લરને સોંપાયો છે. GNFCના MD રાજકુમાર બેનીવાલનો ચાર્જ ડૉ. અંજુ શર્માને આપવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન એમ.ની જવાબદારી સુરત કલેક્ટર ડૉ. પાર્ધી સૌરભ જામસિંહ સંભાળશે. રાજેશ માંઝુનો ચાર્જ ડૉ. જયંતિ એસ. રવિ સંભાળશેઆ ઉપરાંત અશ્વિની કુમારે ઉર્જા વિભાગ સાથે સ્પોર્ટ્સ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો વધારાનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અવંતિકા સિંહ કૌલખને GSPC સાથે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના CEO તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંઝુનો ચાર્જ ડૉ. જયંતિ એસ. રવિ સંભાળશે. રમ્યા મોહનનો ચાર્જ પ્રશાંત જિલોવા સંભાળશેજેનુ દેવન અને મહેશ આઈ. પટેલના ચાર્જ સંદીપ કુમારને સોંપાયા છે, જ્યારે રમ્યા મોહનનો ચાર્જ અમદાવાદના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પ્રશાંત જિલોવા સંભાળશે. દિલીપકુમાર રાણા, ધવલકુમાર પટેલ અને રણજીત કુમાર સિંહના ચાર્જ અનુક્રમે બી.એચ. તલાટી, કે.સી. સંપત અને કે.જે. રાઠોડને સોંપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી દરમિયાન શાસનવ્યવસ્થા અને વિકાસકાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ 'Komo by Kaffa' આવ્યા'તા‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે. અમદાવાદમાં આવતા મોટાભાગના સેલિબ્રિટી અહીંયા એક વખત મુલાકાત લેતા જ હોય છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી ત્યારે ટીમના પ્લેયર પણ આ કેફેમાં ગયા હતા. સામાન્ય દિવસમાં પણ આ કેફેમાં 20થી 30 મિનિટનું લાંબુ વેઈટીંગ હોય છે. ત્યારે આટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોઈ યુવક ચોંકી ગયોમળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા માટે જાણીતા 'Komo by Kaffa' માં ગયો હતો. ધ્રુવિલે કોમોમાંથી પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ, રાઈસ વિથ કરી અને આઈસ કોફી મંગાવી હતી. ધ્રુવિલના ટેબલ પર આઈસ કોફી અને પાસ્તા આવ્યા હતાં. જમવાની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ ધ્રુવિલ અચાનક ટેબલ પરથી ઉભો થઈ ગયો હતો. સ્ટાફે માફી માંગીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરીધ્રુવિલે મંગાવેલા પાસ્તામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી. ધ્રુવિલે જમવાનું ટેબલ છોડીને હોબાળો કર્યો હતો, જેથી સ્ટાફ ભેગો થયો હતો. ધ્રુવિલે આટલી મોટી બેદરકારી અંગે ફરિયાદ કરી તો કેફેના સ્ટાફે માફી માગી લીધી હતી. કેફેના સ્ટાફે બિલ માફ કરીને ધ્રુવિલને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી હતી. ધ્રુવિલે આ અંગે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે. 'જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે'ધ્રુવિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જમવા ગયા ત્યારે વેઈટિંગ હતું, અમે રાહ જોઈને અંદર ગયા હતા. જે પાસ્તાનો ઓર્ડર આપ્યો તેની કિંમત 850 રૂપિયા હતી. કહેવાતા હાઈફાઈ કેફેમાં આટલી મોટી રકમ લઈને પણ ફૂડમાં ધ્યાન રાખવામાં આવતું ન હોય તો બંધ કરી દેવું જોઈએ. અમારી માંગ છે કે આ કેફે જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે. અગાઉ ક્રિકેટર 'Komo by Kaffa' આવ્યા'તા ઉલેખ્ખનીય છે કે, 7 માર્ચ, 2026ના ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ અને ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા 'Komo by Kaffa' માં મોડી રાતે જોવા મળ્યા હતાં. આ પણ વાંચોઅમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાવનગર જિલ્લા જેલની બહારથી અજાણ્યા શખસે પ્રતિબંધિત વસ્તુ ધરાવતો દડો જેલની અંદર ફેક્તા દડો હવાલદારના હાથમાં આવ્યો હતો. જે દડાની તપાસ કરતા તેમાંથી સિગારેટનું પેકેટ, મસાલો, તમાકુ, મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે જિલ્લા જેલના જેલરે નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળીઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લા જેલના જેલર ગ્રુપ-2 રણજીતસિંહ તેજમાલસિંહ સોલંકી એ ફરિયાદ નોંધાવી હતી કે, આજરોજ સવારના સમયે જેલની અંદર રેડીયો પ્રિઝન રૂમની સામેની બાજુ આવેલ છોડની પાસે કાળા કલરની સેલોટેપ વિંટેલ દડો જેલના હવાલદાર પ્રવિણભાઈ ભૌપાભાઈ બારૈયાને મળી આવ્યો હતો. જે દડો ખોલી ને તપાસ કરતા, તેમાંથી 138 બાગબાન તમાકુની પડીકી વાળો મસાલો, સીગારેટનું 1 પેકેટ, બુધાલાલ તમાકુની પડીકી 5 નંગ, ચુનાની ટોટી 4 નંગ, ચાર્જર, કીપેડ વાળો બેટરી સાથે સિમકાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો. જે મળી આવેલી જેલ પ્રતિબંધિત વસ્તુ ધરાવતા દડાને અજણાયા શખસે જેલની મુખ્ય દિવાલ કુદાવીને બહારના ભાગેથી ફેંકવામાં આવ્યો હતો, જે ફરિયાદના અનુસંધાને નિલમબાગ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ BNS કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45(12) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો પર કાયદાનો સકંજો વધુ કડક બનાવવામાં આવ્યો છે. NDPS (નશીલા પદાર્થો) ના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં પોલીસે PGVCL ના અધિકારીઓ સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન મોટા પાયે વીજ ચોરી પકડાઈ હતી. કુલ ₹44,50,000/- (ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા) નો માતબર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને PGVCL ની ટીમે કુલ 11 આરોપીઓ અને અન્ય 3 ઇસમોના મકાનોમાં તપાસ કરી હતી અને ₹1,20,000થી ₹17,00,000 સુધીના દંડ ફટકાર્યા હતા. આરોપીઓના નામ અને ફટકરાયેલ દંડની રકમ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નશાના કારોબારમાં સંડોવાયેલા આ શખ્સો ગેરકાયદેસર રીતે વીજળી વાપરી સરકારને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. PGVCL દ્વારા તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઈફ્તારમાં ધર્મેશ ગામીની કુરેશી સમાજને અપીલ:ગુજરાતના ગૌ સંરક્ષણ કાયદાનું પાલન કરવા ભાર મૂક્યો
રમઝાન મહિના નિમિત્તે આયોજિત એક ઈફ્તાર કાર્યક્રમમાં ભારતીય ગૌ રક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ કુરેશી સમાજને સંબોધિત કર્યા હતા. તેમણે સમાજમાં એકતા, ભાઈચારો અને કાયદાના પાલન પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને, તેમણે ગુજરાતના ગૌ સંરક્ષણ કાયદાઓનું પાલન કરવા અપીલ કરી હતી. ગામીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્ય આદતો અંગે ચર્ચાઓ થાય છે અને મોટાભાગના લોકો માંસાહારી ખોરાક લે છે. તેમ છતાં, ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ પ્રાણીઓના સંરક્ષણ માટે કાયદા ઘડ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક રાજ્યમાં કયા પ્રાણીની કતલ કરી શકાય અને કયા પ્રાણીની નહીં તેના સ્પષ્ટ નિયમો છે. આ નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે ફરજિયાત છે. તેમણે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગાયના સંરક્ષણ અંગેના કડક કાયદાઓનો ઉલ્લેખ કર્યો. ગામીએ કુરેશી સમાજના લોકોને આ કાયદાનું પાલન કરવા અને કાયદાકીય મુશ્કેલીઓથી દૂર રહેવા સૂચન કર્યું હતું. ધર્મેશ ગામીએ સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો જાળવી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે મજીદભાઈ, ઈકબાલભાઈ અને અન્ય વડીલો દ્વારા આઠથી દસ વર્ષ પહેલાં સમાજને જાગૃત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રયાસોથી કુરેશી સમાજને ઘણો ફાયદો થયો છે. અંતમાં, તેમણે સમાજને એકતા જાળવી રાખીને કાયદાનું પાલન કરવા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદના વંટોળમાં સંપડાઇ છે. નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં સાત દિવસથી વધુ સમય એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી મોડી થતા દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરના એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈમળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત ત્રણ હજારથી વધુ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ વિવિધ ક્લીફોની સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં એક અઠવાડિયાથી એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈ છે. જેના લીધે બે ટેબલમાં ઓપરેશન થતા નથી અને હાલમાં માત્ર એક ટેબલ પર અસ્માત અને તત્કાલ દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છેનવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાનીમોટી થઈને 20થી વધુ તબીબ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી. પણ હાલમાં એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છે. જયારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. એવા સંજોગોમાં આ ખામીના કારણે ઓપરેશન ઓછા થતા અન્ય દર્દીઓના ઓપરેશન ડીલે થઈ રહ્યા છે. દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારોસિવિલમાં એસી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી અને પોતાની રીતે કામગીરી કરતા હોવાના લીધે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. 'ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ'આ બાબતે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ છે અને તે ઝડપથી રીપેરીંગ થઈ જશે. હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થો. ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે IP યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ (CGPDTM) ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌરવ સમાન ‘સોમપુરા શિલ્પ સ્થાપત્ય કલા’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ પથ્થર કોતરણીને ભૌગોલિક સંકેતક (GI Tag) અપાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. EDIIના માર્ગદર્શન હેઠળ આ બંને પ્રાચીન કળાઓ માટે GI ટેગિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં જ આરંભવામાં આવશે, જેના પરિણામે સ્થાનિક કારીગરોની કળાને કાયદાકીય રક્ષણ મળશે અને વૈશ્વિક બજારમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ પ્રસંગે સોમપુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ સોમપુરાનું ડૉ. ઉન્નત પંડિત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. તેમણે ઉમેર્યું હતું કે, GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ કારીગરોને મળેલી આ માન્યતા તેમની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતાની પછેડી' કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને ‘સુરત કટ’ માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે.
વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી:સૂતેલા યુવકનો ફોન ચોરનાર તસ્કર કલાકોમાં ઝડપાયો
વાપી રેલવે સ્ટેશન પર 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત રેલવે સુરક્ષા બળ (RPF) એ મોબાઈલ ચોરીના એક બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. સ્ટેશનના વેઈટિંગ એરિયામાં સૂતેલા એક યુવકનો મોબાઈલ ચોરી કરી ફરાર થયેલો શખ્સ CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પકડાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા સંદીપ ઘનશ્યામ તિવારી ગત 16 માર્ચના રોજ બપોરના સમયે વાપી રેલવે સ્ટેશનના મેન હોલમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમની જેબમાંથી આશરે ₹11,000ની કિંમતનો 'Realme' કંપનીનો મોબાઈલ ચોરી લીધો હતો. ભોગ બનનાર યુવકે તાત્કાલિક RPF ઓફિસે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ ASI નીતિન કુમાર ટંડેલ અને તેમની ટીમે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરાની તપાસ શરૂ કરી. ફૂટેજમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક શખ્સ યુવકના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન RPF ટીમે વાપી રિઝર્વેશન સેન્ટર પાસે લાલ ટી-શર્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને જોયો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક જવાનોએ તેને ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સની સિંહ (ઉંમર 31, રહે. દમણ) હોવાનું જણાવ્યું. તેણે ચોરીની કબૂલાત કરી અને જણાવ્યું કે ચોરી કરેલો મોબાઈલ તેણે પોતાના મિત્રના ઘરે છુપાવ્યો હતો. RPF ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ચોરી થયેલો મોબાઈલ પણ રિકવર કર્યો. ચોરીનો મુદ્દામાલ મળી આવતા RPFએ આરોપી અને જપ્ત કરેલો મોબાઈલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી GRPને સોંપ્યા. GRP પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને સાવચેત રહેવાની અને ખાસ કરીને આરામ કરતી વખતે પોતાના સામાનની સુરક્ષા રાખવા અપીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ધ્રાંગધ્રા ચોકડી પાસે પોલીસે રેતીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 40.47 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે એક ડમ્પર અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 61.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતા કેટલાક આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 10,068 નાની-મોટી બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 40,47,600 છે. આ ઉપરાંત, રૂ. 15 લાખનું ડમ્પર, રૂ. 5 લાખની સ્વિફ્ટ કાર, રૂ. 35,000ના 6 મોબાઇલ ફોન અને રૂ. 50,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા જીજ્ઞેશગીરી ભરતગીરી ગોસ્વામી, ગણપતપરી કાલપરી ગોસ્વામી, દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી, એક કિશોર, કાળા કલરની સ્વિફ્ટ ગાડીનો માલિક, ટાટા કંપનીના ડમ્પરનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી અને મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા સહિતના આરોપીઓ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા અને સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામમાં એક 17 વર્ષીય સગીરાએ યુવકની પજવણીથી કંટાળી પોતાના ઘરમાં એસિડ પી આપઘાત કર્યો હતો. 15 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં સગીરાનું મોત નીપજ્યું હતું. નાનાપોંઢા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મોટાપોંઢા ગામના ગામતળ ફળિયામાં રહેતી 17 વર્ષ અને 9 માસની સગીરાને ગામમાં સોના-ચાંદીની દુકાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ખુશાલ દયારામ માલી નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. આરોપી યુવકે સગીરાને ગુપ્ત રીતે મોબાઈલ ફોન અને સિમકાર્ડ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ગત 15 માર્ચના રોજ સગીરાએ એસિડ પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સગીરાના મૃત્યુ બાદ ઘરની તપાસ કરતા તેના પલંગ નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં સગીરાએ લખ્યું હતું કે, આ છોકરો મને બ્લેકમેલ કરતો હતો અને મને જીવવા દેતો ન હતો. સગીરાના પિતા સાવલારામ માલીએ આ અંગે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી ખુશાલ માલીએ સગીરાને લલચાવી-ફોસલાવી મોબાઈલ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા વારંવાર દબાણ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે સગીરાએ આ અંતિમ પગલું ભર્યું હતું. નાનાપોંઢા પોલીસે બી.એન.એસ. (B.N.S.S.) કલમ 107 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ભીમશી રાજસીભાઈ બેરા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીના એક જ દિવસમાં PGVCLને રૂ. 88.41 લાખની વસુલાત થઈ હતી અને 458 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ડ્રાઇવથી બાકીદારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ મેગા ડ્રાઇવ માટે વેરાવળ ડિવિઝન હેઠળના 7 સબ ડિવિઝનમાં કુલ 94 ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ સવારથી સાંજ સુધી ગામડાંથી શહેર સુધીના વિસ્તારોમાં બાકીદારો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના પરિણામે, કુલ રૂ. 88.41 લાખની વસુલાત થઈ હતી. ડ્રાઇવ દરમિયાન 458 બાકી વીજ ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ભયથી 1156 ગ્રાહકોએ ડિસ્કનેક્શન પહેલાં જ તેમની બાકી રકમ ભરી દીધી હતી. આ ઉપરાંત, PGVCLને રીકનેક્શન પેનલ્ટી પેટે રૂ. 28,600 ની વધારાની આવક પણ થઈ હતી. PGVCLના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે આ મેગા ડ્રાઇવનો મુખ્ય હેતુ બાકીદારોને કડક સંદેશ આપવાનો અને નિયમિત ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે આવી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને બાકીદારો સામે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ ડ્રાઇવને કારણે જિલ્લામાં વીજચોરી અને બાકીદારી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નિયમિત બિલ ભરતા ગ્રાહકોમાં પણ આ કાર્યવાહીથી સંતોષ જોવા મળી રહ્યો છે. PGVCLની આ કામગીરી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે બાકી બિલો મામલે હવે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન
Finland President On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધને શાંત પાડવા માટે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. ભારત અમેરિકા-ઈરાન યુદ્ધમાં દખલગીરી કરી શકે છે. મેં વિદેશ મંત્રી એસ.જયશંકરને વાતચીત અને યુદ્ધવિરામની અપીલ કરતા જોયા છે. યુદ્ધના કારણે વિશ્વમાં ઊર્જા સંકટ વધી ગયું છે.
VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20 લોકોનું ટોળું જોઈને પોલીસ ભાગી
Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત 15 માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા હથિયારધારી શખસોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં રસ્તાના અભાવે ફરી એકવાર પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉચકીને ૧ કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પડી હતી. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુકરદા ગામના દુક્તા ફળિયામાં રહેતી અનિતાબેન સેવજીભાઈ ભીલને રાત્રિ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડી હતી. રાતનો સમય હોવાથી પરિવારજનોએ સવાર થવાની રાહ જોઈ હતી. સવારે અનિયાબેનને ઝોળીમાં ઉચકીને કાચા રસ્તા સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઊભી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનિયાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં ઉચકીને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે પ્રસૂતિને દસ દિવસની વાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તેમને ઘરે પરત લાવ્યા હતા અને ફરી રાત્રિના સમયે દુખાવો શરૂ થયો હતો. નસવાડી તાલુકામાં છેલ્લા દસ દિવસમાં આ ત્રીજી ઘટના છે જેમાં પ્રસૂતાને ઝોળીમાં ઉચકીને લઈ જવામાં આવી છે. આ તમામ ઘટનાઓ મીડિયામાં પણ પ્રકાશિત થઈ છે, તેમ છતાં જિલ્લાનું તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં પાકા રસ્તા બનાવવાની તાતી જરૂરિયાત છે.
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટને આખરે ફરજ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. કમિશનર એમ. નાગરાજનના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેવા બદલ સસ્પેન્ડ થયેલા ડૉ. ભટ્ટને હવે સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ખાલી પડેલી જગ્યા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતોજ્યારે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન શહેરના ભાગળ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા હતાં. તે સમયે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. અજીત ભટ્ટને હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ ફરજ પર ગેરહાજર જણાયા હતાં. શિસ્તબદ્ધ વહીવટના આગ્રહી કમિશનરે આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સસ્પેન્શનના પગલે મનપાના આરોગ્ય વિભાગમાં સોંપો પડી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. સમીક્ષા સમિતિનો નિર્ણય, નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણમનપા દ્વારા ફરજ મોકૂફી હેઠળ મુકાયેલા અધિકારીઓના કેસોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની બેઠક તારીખ 11 માર્ચ, 2026ના રોજ મળી હતી. જેમાં ડૉ. અજીત ભટ્ટના કેસની સમીક્ષા કરવામાં આવી અને તેમને શરતી રીતે નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ, 17 માર્ચ 2026ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બીમાં મુકાયાહુકમમાં જણાવ્યા અનુસાર, ડૉ. અજીત ભટ્ટને સેન્ટ્રલ ઝોનને બદલે હવે સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે નાયબ આરોગ્ય અધિકારીની ખાલી જગ્યા પર બદલી સાથે મુકવામાં આવ્યા છે. જોકે, આ પુનઃ સ્થાપના કેટલીક મહત્વની શરતોને આધીન છે જેમાં સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓ જે પગાર ધોરણમાં પગાર મેળવતા હતા, તે જ ધોરણ મુજબ તેમને હાલ પગાર ચૂકવવામાં આવશે. સેન્ટ્રલ ઝોનની જવાબદારી અમિત પટેલને સોંપાઈડૉ. અજીત ભટ્ટની બદલી થતા, સેન્ટ્રલ ઝોનની જવાબદારી હવે ડૉ. અમીતકુમાર ચંપકલાલ પટેલને સોંપવામાં આવી છે. ડૉ. પટેલ હાલ સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ફરજ બજાવતા હતા, પરંતુ હવે તેઓ સેન્ટ્રલ ઝોન ખાતે નાયબ આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સંભાળશે.
પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સુધારણા માટે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 11.5 કિલોમીટર લંબાઈના રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેના પર અંદાજે 57 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મંજૂર કરાયેલા 11.5 કિલોમીટરના રસ્તામાંથી 1300 મીટરના વિસ્તારમાં સીસી વર્ક (કોંક્રિટ રોડ) કરવામાં આવશે. રસ્તાની બંને બાજુ સાઈડ કર્બિંગ, ફૂટપાથ અને ગટર (સાઈડ ડ્રેઈન) જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટેનું પ્રી-ક્વોલિફિકેશન મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ તુરંત જ રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. આ નવા રસ્તાના નિર્માણથી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
ગોધરા નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે, પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દુકાનોને સીલ કરી છે અને 4 મિલકતોના પાણીના જોડાણો કાપી નાખ્યા છે. લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલકતો સામે પાલિકાના વસૂલાત વિભાગે કડક કાર્યવાહી કરી છે. વેરા વસૂલાત ટીમે અનેક વખત નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ કરવામાં આળસ દાખવતા મિલકતધારકો સામે આ પગલાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર અને GIDC વિસ્તારમાં આવેલી દુકાનો અને મિલકતો પર કરવામાં આવી હતી. કુલ 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે 4 મિલકતોના પાણીના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ કડક ઝુંબેશ દરમિયાન, પાલિકાના વસૂલાત વિભાગે સ્થળ પર જ ₹2 લાખથી વધુની વેરા વસૂલાત કરી હતી. પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ બાકીદારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે. નાગરિકોને વધુ શિક્ષાત્મક પગલાંથી બચવા માટે સમયસર વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મુદત પૂર્ણ થઈ છે, જેના પગલે આવતીકાલથી જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને એક નગરપાલિકામાં વહીવટદાર શાસન લાગુ પડશે. આજે બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયત તેમજ બરવાળા નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ છે. બોટાદ નગરપાલિકાની મુદત આવતીકાલે પૂર્ણ થશે. જિલ્લા પંચાયત માટે બોટાદ કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગઢડા અને બોટાદ તાલુકા માટે બોટાદ પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે, જ્યારે રાણપુર અને બરવાળામાં બરવાળા પ્રાંત અધિકારી વહીવટ સંભાળશે. આ વહીવટદાર શાસન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં આગામી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ચાલુ રહેશે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી થઈ છે. ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કૃષ્ણા શાંતિ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ રામમનોહર તિવારીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ સિવિલ કામ કરે છે. ગત. 13 માર્ચ 2026ના રોજ પ્રતિકભાઈ તથા તેમના ભાઈ સાથે કામકાજ અર્થે ભરૂચ ગયા હતા. દરમિયાન સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ તેમની પત્ની દિવ્યાબેનનો ફોન આવ્યો હતો. ફોનમાં તેમણે જણાવ્યું કે તેઓ ઘરે આવેલા મંદિરમાં પૂજા કરવા ગયા હતા, ત્યારે મંદિરમાં રાખેલી ચાંદીની મૂર્તિઓ ગાયબ જોવા મળી હતી. પ્રતિકભાઈ અને તેમના ભાઈ તાત્કાલિક ઘરે પરત ફર્યા અને તપાસ કરતા મંદિરની બંને ચાંદીની મૂર્તિઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયેલી મૂર્તિઓમાં લક્ષ્મીમાતાજીની મૂર્તિ, ગણેશજીની બેઠેલી મૂર્તિનો સમાવેશ થાય છે.બન્ને મૂર્તિઓનું કુલ વજન આશરે 800 ગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂપિયા 1.30 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. ખાસ વાત એ છે કે, ઘરના તાળા તૂટેલા નથી, જેના કારણે ચોરી કેવી રીતે થઈ તે અંગે રહસ્ય ઊભું થયું છે. અજાણ્યા ચોર દ્વારા તા. 13 માર્ચના બપોરે 3વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે મંદિરેથી મૂર્તિઓ ચોરી કરવામાં આવી છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરને ₹21.70 કરોડના PET SCAN, MRI મશીન મળશે:PFC અને C.U. શાહ મેડિકલ કોલેજ વચ્ચે MOU થયા
સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ વચ્ચે ₹21.70 કરોડના સમજૂતી કરાર (MOU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા અત્યાધુનિક સાધનો ફાળવવામાં આવશે. આ કરાર PFCની દિલ્હી ઓફિસ ખાતે થયા હતા. આ પ્રસંગે PFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરમિંદર ચોપરા, PFCના ડિરેક્ટર અને CSR કમિટીના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલા તેમજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિરેક્ટર અને CEO ડૉ. શ્યામભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ અંતર્ગત, PFC તેના CSR ફંડમાંથી આશરે ₹21.70 કરોડના ખર્ચે સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા અત્યંત આધુનિક સાધનો પૂરા પાડશે. આ સુવિધાઓ સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. PFCના CSR કમિટીના ચેરમેન નરેશભાઈ કેલાએ જણાવ્યું હતું કે, તેમનો હંમેશા સુરેન્દ્રનગર જિલ્લા અને શહેર માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયાસ રહ્યો છે. CSR કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી મળતા જ તેમણે ડૉ. શ્યામ શાહ સાથે પરામર્શ કરીને જિલ્લામાં મેડિકલ સુવિધાઓના અભાવને પ્રાથમિકતા આપી હતી. PFCની ટીમ અને મેડિકલ કોલેજના સતત પ્રયત્નો તથા તમામ ટેકનિકલ પૂર્તતાઓ બાદ આ પ્રોજેક્ટ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સ્થાનિક દર્દીઓને ગંભીર બીમારીઓના નિદાન માટે અન્ય મોટા શહેરો સુધી જવાની જરૂર પડશે નહીં. તેમને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય નિદાન સુવિધા મળી રહેશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી અમલમાં આવનાર આ મહત્વપૂર્ણ CSR પ્રોજેક્ટ સ્વ. સી. યુ. શાહ સાહેબને સાચી શ્રદ્ધાંજલિરૂપ બની રહેશે. PFC અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ વચ્ચેનો આ સમન્વય સુરેન્દ્રનગરના તબીબી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ પ્રસંગ છે.
ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બેજૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું બન્ને પક્ષે સામસામે પથ્થરમારો સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા એલસીબી ઘોઘારોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણભાવનગર શહેરના આડોડિયા વિસ્તારમા આજરોજ સાંજના સમયે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરો મારો કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના લોકો એ સામસામી પથ્થરમારો થતા વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. સામસામે પથ્થર મારો થતા યુવતી અને મહિલાને ઈજારોડ પર લોકોના ટોળા ઊમટતા સમગ્ર બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ, એલસીબી સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. જેમાં સામસામે પથ્થર મારો થતા એક યુવતી અને એક મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકના PI દેસાઈ સાથે દિવ્યભાસ્કરની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર ઘટના ક્રિકેટ રમવા બાબતે સર્જાઈ હતી જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બનાવના પગલે પોલીસ તે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધાવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવોમાં અસહ્ય વધારાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાણીબાગ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સ્થાનિક નેતાએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી નરેન્દ્ર મોદીના નીતિવિષયક નિર્ણયોને કારણે દેશમાં બેહાલીનો માહોલ છે અને મોંઘવારીએ માજા મૂકી છે. નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને બહેનોને ધુમાડો નહીં લાગવા દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે બહેનોને ધુમાડો તો ઠીક, પૈસા ખર્ચવા છતાં ગેસનો બાટલો મળતો નથી. તેમણે ગેસના બાટલા માટે 24-25 દિવસના ગાળા અને ઓનલાઇન બુકિંગમાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. કોંગ્રેસ નેતાએ એક ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગે છે. તેઓ કયા દબાણમાં નિર્ણયો લઈ રહ્યા છે તે સમજાતું નથી. તેમણે જનતાને જાગૃત કરવા પર ભાર મૂક્યો કે આ સરકાર સામાન્ય લોકોના હિતમાં નથી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાણીબાગ અને આસપાસના ચાર રસ્તાઓ પર થયેલા આ વિરોધ પ્રદર્શનને શાંત પાડવા પોલીસે સમયસર દરમિયાનગીરી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ મનપાની લાલ આંખ:ગંગાજળિયા તળાવ માર્કેટમાંથી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત
શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે એક સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, મનપાની ટીમે શહેરના પીરછલ્લા વોર્ડમાં આવેલા મુખ્ય વેપારી મથકો પર દરોડા પાડી મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો છે, મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગંગાજળિયા તળાવ વેજીટેબલ માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ વિસ્તાર, લારી-ગલ્લા, દુકાનદારો અને પાથરણા વાળાઓ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી કુલ 28 જેટલા આસામીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઝડપાયા હતા, આ કામગીરી દરમિયાન આશરે 35.250 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, આ કામગીરી અંગે નોડલ ઓફિસર (સ્વચ્છ ભારત મિશન) અને કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે, શહેરની સ્વચ્છતા જાળવવીએ દરેક નાગરિકની ફરજ છે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, પ્રતિબંધિત પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, ઇકો-ફ્રેન્ડલી અથવા બાયોડિગ્રેડેબલ બેગનો આગ્રહ રાખવો, કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે માત્ર ડસ્ટબિન અથવા ઘરે આવતા ટેમ્પલ બેલમાં જ નાખવો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક મુક્ત શહેર માટે આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
ગોધરા શહેરમાં સિટી મામલતદારની ટીમે કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને કુલ 8 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા સિલિન્ડરોમાં 3 ભરેલા અને 5 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે. નિયમ વિરુદ્ધ ઘરેલું ગેસનો ઉપયોગ કરવા બદલ સંબંધિત હોટલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદારની ટીમે કુલ પાંચ એકમોમાંથી આ સિલિન્ડરો જપ્ત કર્યા હતા. જેમાં અમદાવાદી તવા ફ્રાયમાંથી 3, ફેજે આમ અલ્લા રખ્ખામાંથી 1, યાદગાર હોટલમાંથી 1, અલીફ ચાઈનીઝમાંથી 2 અને બર્ગન ખાનમાંથી 1 સિલિન્ડરનો સમાવેશ થાય છે.
પોરબંદર PGVCL વર્તુળ કચેરી હેઠળના ચાર સર્કલમાં વીજ કનેક્શન કાપવાની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં કુલ 1188 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને સ્થળ પર રૂ. 55.49 લાખની ઉઘરાણી કરવામાં આવી હતી. આ કામગીરી માટે 280 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોરબંદર PGVCL હેઠળના ડિવિઝનમાં એક હજારથી વધુ ગ્રાહકોના વીજ બિલ બાકી હતા, જેમના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન, ₹5 લાખનું વીજ બિલ બાકી હોવાને કારણે જિલ્લા સેવા સદન 2 નું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. જેના કારણે સેવા સદનની કામગીરી ખોરવાઈ હતી. PGVCL દ્વારા આ મેગા ડ્રાઈવ મંગળવારે આયોજિત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ PGVCL ના કુલ ₹14 કરોડના વીજ બિલની ઉઘરાણી બાકી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં લીલેશરા સબ સ્ટેશન નજીક વીજ કેબલ બદલવાની કામગીરી દરમિયાન એક શ્રમિકને હાઈવોલ્ટેજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેટકોના 220 KV સબ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની હતી. શ્રમિક થાંભલા પર વીજ કેબલ બદલી રહ્યો હતો ત્યારે તેને જીવંત લાઈનનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકનું નામ શાંતિલાલ ડામોર છે, જે શહેરા તાલુકાના બામરોલી ગામનો રહેવાસી છે. આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી હતી, જેમાં લગભગ 30 જેટલા કામદારો કાર્યરત હતા. કરંટ લાગીને શ્રમિક નીચે પટકાયા બાદ પોલ નજીક રહેલા સૂકા ઝાડી-ઝાંખરામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. શાંતિલાલ ડામોરને ગંભીર હાલતમાં ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે.
નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી RMC ક્વાર્ટરની સામે રહેતો આફતાબ અનિશભાઈ મેમણ (ઉં.વ.22) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ નાણાવટી ચોકમાં પરમેશ્વર સોસાયટી પાસે ખોડીયાર હોટલ નજીક હતો ત્યારે બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણ અને તેની સાથેના માણસે ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા યુવકને માથામાં, હાથમાં અને શરીરે ઇજા પહોંચી હતી.જેથી અફતાબને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે નાણાવટી ચોક RMC ક્વાર્ટરમાં તેમના માસી મુમતાઝ બેન રહે છે તે પોતાના માસી ના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત આવીને હોટલ પાસે ઊભો હતો ત્યારે આરોપીઓ આવી અને અમારો દારૂનો ધંધો ચાલુ હોય ત્યારે અહીંથી કેમ તું વારંવાર નીકળશ કહીં હુમલો કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધુંરાજકોટમાં રહેતી પરિણીતાએ દોઢ વર્ષ પૂર્વે ધવલ બ્રહ્માણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના છ મહિના બધું બરાબર ચાલ્યા બાદ પરિણીતા ખાનગી નોકરી શરૂ કરતા વિવાદના વંટોળ શરૂ થયા હતા. નોકરીને કારણે ઘરકામમાં સમય ન આપી શકતી હોવાથી સસરા હિતેશભાઈ અને દાદા સસરા વિઠ્ઠલભાઈ નાની-નાની વાતોમાં ટોકટોક કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જ્યારે પરિણીતાએ આ બાબતે પતિ ધવલને વાત કરી, ત્યારે તેણે સાથ આપવાને બદલે ઘરના વડીલોનું સહન કરવું પડશે તેમ કહી પત્ની સાથે મારપીટ કરી હતી. પરિણીતા માનસિક રીતે ભાંગી પડ્યા હતાસાસુ ગીતાબેન પણ પતિને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હોવાથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ 20 ફેબ્રુઆરીના રોજ પોતાનું સાસરું છોડીને બહેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. બહેનના ઘરે ગયા બાદ 20 દિવસ સુધી સાસરી પક્ષમાંથી કોઈ તેડવા કે ફોન કરવા ન આવતા પરિણીતા માનસિક રીતે ભાંગી પડ્યા હતા. પત્નીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઆ આઘાતમાં તેમણે ગત 16 માર્ચના રોજ બપોરે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, પરિણીતાએ ફરીથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને સ્વીકારવાની ના પાડી દેતા અંતે પરિણીતાએ પતિ ધવલ, સસરા હિતેશભાઈ, સાસુ ગીતાબેન અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેલનાથપરાની પરિણીતાએ કલેશને લીધે ફિનાઇલ પીધુંરાજકોટ શહેરના વેલનાથપરામાં રહેતાં માયાબેન નયનભાઇ જેઠવા (ઉ.વ.30)એ ગઇકાલે રાત્રે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશને લીધે કંટાળીને તેમણે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. આપઘાતનો પ્રયાસ કરનાર માયાબેન પરિણિત છે અને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઇ કામ કરી, ઘરનું ગુજરાન ચલાવે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમા કાયદાનું ચુસ્ત પાલન કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત તમાકુ કે તમાકુમાંથી બનાવેલ વસ્તુઓનું વેચાણ કરતા એકમો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003ની કલમ 6 અને બ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આજે શહેરના વિવિધ ઝોનમાંથી કુલ 135 એકમો પાસેથી 27,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અનધિકૃત પ્રવૃત્તિ કરનારાઓ સામે પાલિકાના આકરા પગલાંકાયદાકીય જોગવાઈ મુજબ કોઈપણ શાળા કે કોલેજની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ કે અન્ય પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વેચાણ કરવું એ ગંભીર ગુનો છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર પ્રતિબંધિત રીતે વેચાણ કે અનધિકૃત પ્રવૃત્તિ કરનારાઓ સામે પણ પાલિકાએ આકરા પગલાં લીધા છે. પાલિકાની ટીમોએ ઓચિંતી તપાસ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે દંડ વસૂલવાની કામગીરી કરી હતી. આ ઝુંબેશનો હેતુ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રાખવાનો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં કાયદાનું પાલન કરાવવાનો છે. 135 એકમોને દંડ કરીને રૂ. 27,000નો દંડ વસૂલ્યોવિવિધ ઝોનમાં થયેલી કામગીરીની વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોનમાં 19 કેસ કરીને 3,200 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. રાંદેર ઝોનમાં પણ 19 એકમો સામે કાર્યવાહી કરી 3,800 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. કતારગામ ઝોનમાં 17 એકમો પાસેથી 3,400 રૂપિયાનો દંડ લેવાયો હતો. વરાછા-A અને વરાછા-B ઝોનમાં 14-14 એકમો સામે કાર્યવાહી કરીને કુલ 5,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. દક્ષિણ સુરતના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉધના-A ઝોનમાં 16 એકમો પાસેથી 3,200 રૂપિયા અને ઉધના-B ઝોનમાં 10 એકમો પાસેથી 2,000 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવાયો હતો. અઠવા ઝોનમાં 14 એકમો સામે 2,900 રૂપિયા અને લિમ્બાયત ઝોનમાં 15 એકમો પાસેથી 3,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ સમગ્ર શહેરમાં કુલ 135 એકમો સામે કાર્યવાહી કરી 27,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
વલસાડમાં ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો દારૂ ઝડપાયો:એક મહિલાની ધરપકડ, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ
વલસાડ રૂરલ પોલીસે વશિયર ગામ નજીકથી એક ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે દમણની એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે કાર ચાલક સહિત બે ઇસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ₹8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રૂરલ પોલીસને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કાર (નંબર GJ-15-CB-8499) માં દારૂનો મોટો જથ્થો ભરીને દમણથી સુરત તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વશિયર ડી-માર્ટ બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ઇનોવા કાર આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈને કાર ચાલકે ગાડી દૂર ઉભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ચાલક 'બાબુ' અને તેની સાથેનો અન્ય એક ઇસમ ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની ક્લીનર સીટ પર બેઠેલી દમણની ખુશીબેન જય રણા નામની મહિલાને ઝડપી પાડી હતી. તેની પાસેથી AIMA MEDIA નું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ 816 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹2,50,450), સિલ્વર કલરની ઇનોવા કાર (કિંમત ₹5,00,000), બે મોબાઈલ ફોન અને અન્ય કાગળો સહિત કુલ ₹8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. ગાડીનો અસલી નંબર એન્જિન અને ચેસિસ નંબર પરથી અલગ હોવાનું બહાર આવ્યું છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરાર થઈ ગયેલા કાર ચાલક બાબુ અને અન્ય અજાણ્યા ઇસમને પકડવા માટે પી.આઈ. એસ.એન. ગડ્ડુંના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મીનાબેન અને તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી લગભગ 95 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 1 એપ્રિલથી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ નહીં મુખ્યમંત્રીના અથવા મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવી શકે છે. બ્રિજ શરૂ થતા રોજના 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. બ્રિજ શરૂ થતાં પશ્ચિમ વિસ્તારના નાગરિકોને રાહત મળશેસતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી 95 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ શકે તેમ છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. હાલમાં આ વિસ્તારોમાં ડાયવર્ઝન અને ટ્રાફિકજામને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજ શરૂ થયા બાદ પ્રતિદિન અંદાજે 1.5 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લો મુકાઈ શકેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સાથે પેવમેન્ટ, મિડિયન, સ્ટ્રીટલાઇટ અને અન્ય આધારભૂત સુવિધાઓનું કામ પણ હાથ ધરાયું છે. બાકી રહેલાં કામમાં ફિનિશિંગ અને સલામતી સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે. એક અઠવાડિયાથી દસ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
સાબરકાંઠામાં 16 પોલીસકર્મીઓની બદલી:જિલ્લા પોલીસવડાએ વહીવટી અનુકૂળતા માટે બદલીનો આદેશ કર્યો
સાબરકાંઠા જિલ્લામાં 16 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીમાં હેડક્વાર્ટર, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર, ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (આહેકો), કોન્સ્ટેબલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ગગનચૂંબી બિલ્ડીંગ્સ, આસપાસ અફાટ રણ, બ્લૂ દરિયા કિનારા, લક્ઝૂરિયસ લાઈફ, વિશ્વની મોટી મોટી કંપનીઓનું હબ... સેઈફ અને સ્માર્ટ દેશ દુબઈ. આ દુબઈની હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા. પણ ઈરાને યુદ્ધમાં પણ એવી ગુગલી નાખી કે અમેરિકા જોતું રહી ગયું. ઈરાને UAEને નિશાન બનાવ્યું. તેમાં ય દુબઈ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તો ત્રણ-ત્રણ એટેક થયા. પણ આ યુદ્ધમાં દુબઈ પિક્ચરમાં ય નહોતું તો અચાનક ઈરાનની હડફેટે કેમ ચડી ગયું? આનો જવાબ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ આપી દીધો. ઈરાનની આ સેનાએ કહ્યું કે, મિડલ ઈસ્ટના જે દેશ અમેરિકાને પોતાની જમીન આપશે કે મદદ કરશે તેના પર હુમલો થશે. દુબઈ પર અમે હુમલો કરીશું તો આખી દુનિયાનું ધ્યાન ખેંચાશે. નમસ્કાર, જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે UAEની સરકારે એવી જાહેરાત કરી હતી કે UAE પર ઈરાનના ડ્રોન કે મિસાઈલ આવે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો નહિ. છતાં આ સૂચનાને કેટલાક લોકોએ નજરઅંદાજ કરી. UAEના અબુધાબી, દુબઈ જેવા દેશો પર હુમલા થયા તેના વીડિયો અને હુમલા ન થયા હોય તેવા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. UAEના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલશમ્સે આદેશ આપ્યો કે આવા વીડિયો પોસ્ટ કરનારાની ધરપકડ કરો. UAE પોલીસે 35 લોકોની દુબઈમાંથી જ ધરપકડ કરી. તેમાં 19 ભારતીય છે. UAEના 7 દેશોમાંથી ટાર્ગેટ દુબઈ, ઈરાનની સ્ટ્રેટેજી શું છે? ઈરાન UAE પર હુમલા કરે છે. ઘણા એવું માને છે કે UAE એટલે દુબઈ. પણ એવું નથી. UAE એટલે યુનાઈટેડ આરબ અમિરાત્સ. આ 7 નાનકડા દેશોનું ઝૂમખું છે. અબુધાબી, દુબઈ, શારજહા, અજમાન, ઉમ્મ અલ કુવૈન, રસ અલ ખૈમાહ અને ફુજૈરાહ. આ બધા દેશોમાં દુબઈ આર્થિક સદ્ધર છે, દુનિયાના 200 દેશોના લોકો દુબઈમાં રહે છે. ત્યાં જ બિઝનેસ કરે છે. જો ઈરાન દુબઈ પર હુમલા કરે તો 200 દેશોનું ધ્યાન ખેંચાય ને અમેરિકા પર દબાણ આવે. ઈરાનની આ સ્ટ્રેટેજીએ અમેરિકાને કારમો ઘા આપ્યો છે. પણ યુદ્ધ લાંબુ ચાલશે તો દુબઈનું શું થશે અને યુદ્ધ પૂરું થઈ જશે તો દુબઈનું શું થશે, તે ચર્ચાનો વિષય છે. યુદ્ધના બીજા દિવસથી જ દુબઈ ઈરાનની મિસાઈલ્સ અને ડ્રોન્સની રેન્જમાં આવી ગયું છે. સૌથી મોટો સવાલ એ છે કે ઈરાન દુબઈ પર હુમલા કેમ કરી રહ્યું છે? ઈરાનનો મેસેજ સ્પષ્ટ હતો કે તમે દુશ્મન દેશોને જમીન અને સપોર્ટ આપશો તો તમને પણ છોડીશું નહિ. આ જ લોજિક સાથે દુબઈને ટાર્ગેટ બનાવવામાં આવ્યું. પણ દુબઈ જ કેમ? તેના 5 કારણો છે. આ યુદ્ધની સૌથી ખરાબ અસર દુબઈમાં માઈગ્રેટ થઈને આવેલા લાખો કારીગરો પર અસર પડી છે. દુબઈની વર્કફોર્સના 90 ટકા સાઉથ એશિયન માઈગ્રેન્ટ છે. સૌથી વધારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી કામદારો ત્યાં પહોંચે છે. UAEએ 19 ભારતીયોની ધરપકડ કેમ કરી? UAEમાં કેટલાક લોકોને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા ભારે પડી ગયા છે. ત્યાંની સરકારે 35 લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આમાં 19 ભારતીય પણ છે. UAEના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલશમ્સે મીડિયા સામે કહ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાક ખોટા વીડિયો જોવા મળ્યા જેના કારણે ખોટી માહિતી પ્રસરતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વીડિયોનો હેતુ લોકોમાં ભય અને અફવા ફેલાવવાનો હતો. UAE વિરૂદ્ધ આ પ્રકારનું ષડયંત્ર ચલાવી લેવાશે નહિ. UAE સરકારે યુદ્ધના બીજા દિવસથી જ સ્પષ્ટ સૂચના આપી હતી કે ઈરાન UAE પર મિસાઈલ કે ડ્રોન હુમલો કરે તેવા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાના નથી. કેટલાક લોકોએ સૂચના માની નહીં અને કેટલાકના ધ્યાન બહાર રહી ગયું. પરિણામ એ આવ્યું કે તેમણે હવે કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 માર્ચે UAE સરકારે 10 નામ જાહેર કર્યા. તેમાં બે ભારતીય સામેલ હતા. એ પછી 15 માર્ચે બીજા 25 લોકોનું લિસ્ટ આવ્યું જેમાં 17 ભારતીયો છે. આ પ્રકરણમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ફિલિપિન્સ અને ઈજિપ્તના નાગરિકો પણ સામેલ છે. સરકારે આરોપોના આધારે ત્રણ અલગ અલગ ગ્રુપોમાં વહેંચ્યા છે યુદ્ધ પછી દુબઈમાં શું સ્થિતિ છે? વિશ્વની મોટી મોટી કંપનીઓ અને વિશ્વની મોટી બેન્કો દુબઈમાંથી ઉચાળા ભરી રહી છે. દુબઈ દુનિયાનું સૌથી મોટું ફાયનાન્સિયલ સેન્ટર છે. ઈરાનના હુમલાના કારણે દુબઈની ઈમેજને નુકસાન પહોંચ્યું છે. દુબઈને મિડલ ઈસ્ટની વોલ સ્ટ્રીટ પણ કહે છે. કારણ કે અહિયા દુનિયાની મોટી 5500 જેટલી ઈન્ટરનેશનલ કંપનીઓની ઓફિસો છે. આ કંપનીઓમાં હવે ઈરાન તરફથી થઈ રહેલા હુમલાનો ભય વધી ગયો છે. દુબઈ અત્યારે ખાલી જેવું લાગે છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે ટુરિસ્ટો નથી આવતા. જે લોકો દુબઈમાં રહીને બિઝનેસ, નોકરી કરે છે તે મોટાભાગે વર્ક ફ્રોમ હોમ છે. દુબઈની સ્કૂલોમાં બે મહિનાનું વેકેશન હોય છે એટલે એ રીતે પણ ચહલ પહલ નથી. બાકી જે લોકો રહે છે તે નોર્મલ લાઈફ જ જીવે છે. માર્કેટમાં દુકાનો ખુલી હોય છે. થોડા વાહનોની અવર જવર દેખાય છે. એક રીતે અત્યારે દુબઈમાં રહેતા લોકોને કોઈ તકલીફ નથી. મોટાભાગના લોકો દુબઈ છોડી રહ્યા છે. સિટી બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને HSBC જેવી બેન્કોએ પોતાની ઓફિસો બંધ કરી દીધી છે. ઘણી ફાયનાન્શિયલ કન્સલટિંગ કંપનીઓ છે. જેમ કે ડેલોઈટ, પ્રાઈઝ વોટર હાઉસ કૂપર (PWC) તેમણે પણ દુબઈની ઓફિસો બંધ કરી દીધી છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ગોલ્ડમેન સેચ અને મોર્ગન સ્ટેનલીએ પણ અસ્થાયી રૂપે ઓફિસો બંધ કરી છે. આ કંપનીઓએ તેના કર્મચારીને કહ્યું છે કે તે વર્ક ફ્રોમ હોમ કરે અથવા બીજા દેશોમાં જઈને પણ કામ કરી શકે છે. ઈરાને કહી દીધું છે કે અમે દુબઈમાં બેન્કો, ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન પર પણ હુમલા કરીશું. ટેક્સ ફ્રી દેશ હોવાના કારણે દુબઈમાં દુનિયાભરમાંથી ઈન્વેસ્ટમેન્ટ આવે છે ગ્લોબલ ફાયનાન્શિયલ સેન્ટર ઈન્ડેક્સમાં દુબઈ દુનિયામાં 11મા નંબરે છે. આ જ ઈન્ડેક્સમાં મિડલ ઈસ્ટમાં દુબઈ પહેલા નંબરે છે. દુબઈ દુનિયાના ચાર મોટા ફાયનાન્શિયલ હબમાં સામેલ છે. દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર એટલે DIFC મિડલ ઈસ્ટ, આફ્રિકા અને દક્ષિણ એશિયાનું સૌથી મોટું ફાયનાન્શિયલ સેન્ટર છે. દુનિયાભરના આંતરરાષ્ટ્રીય બેન્ક, ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને કન્સલ્ટિંગ કંપની અને મોટી મોટી લૉ ફર્મના રિજિયોનલ હેડક્વાર્ટર દુબઈમાં છે. DIFCમાં 8 હજાર કંપની રજીસ્ટર્ડ છે. અહિયા 48 હજાર પ્રોફેશનલ્સ કામ કરે છે. જે અલગ અલગ દેશોમાંથી આવ્યા છે. દુબઈ ટેક્સ ફ્રી દેશ છે. મોટી મોટી જાયન્ટ કંપનીઓ દુબઈમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે કારણ કે અહિયા ટેક્સમાં છૂટ મળે છે. ઈન્વેસ્ટમેન્ટ સેઈફ છે, દેશ પણ સુરક્ષિત છે. કંપનીએ કે લોકોએ ટેક્સ આપવાનો નથી. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ન તો જીવન સુરક્ષિત છે ન તો ઈન્વેસ્ટમેન્ટ. દુબઈએ પોતાનું જે બ્રાન્ડિંગ કર્યું હતું તે ઈમેજને મોટો ફટકો લાગ્યો છે. યુદ્ધ લાંબુ ચાલશે તો હજી ઘણી મોટી મોટી કંપનીઓ બીજા દેશોમાં શિફ્ટ થઈ જશે અને અરબો ડોલરનું રોકાણ UAEથી બહાર ચાલ્યું જશે. આ કંપનીઓ સિંગાપોર, લંડન કે હોંગકોંગમાં શિફ્ટ થઈ શકે છે. દુબઈની મોંઘી મોંઘી પ્રોપર્ટી ખરીદનારા લોકોમાં વિદેશીઓ વધારે છે. આ લોકો દુબઈ છોડી દેશે તો દુબઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. ઈરાને ત્રણવાર દુબઈ એરપોર્ટ પર હુમલા કેમ કર્યા? ઈરાન UAEમાં સંખ્યાબંધ ડ્રોન્સ મોકલીને હુમલા કરે છે. UAEમાં અબુધાબીમાં ઓઈલ રિફાઈનરી, ફુજૈરાહમાં ઓઈલ સ્ટોરેજ ફેસેલિટી અને દુબઈમાં સમુદ્ર કિનારે આવેલી બુર્જ અલ અરબ હોટેલ પાસે ડ્રોન મોકલ્યું હતું. દુબઈમાં પામ જુમેરાહ, જબલ અલી પોર્ટ, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, બુર્જ ખલીફા નજીક ઈરાને હુમલા કર્યા છે. દુબઈની આર્થિક ધરી સમાન પોઈન્ટ પર ઈરાન ઘા મારી રહ્યું છે. યુદ્ધ શરૂ ત્યારથી અત્યાર સુધી દુબઈ એરપોર્ટ પર ત્રણવાર હુમલા થઈ ચૂક્યા છે. દુબઈ એરપોર્ટ પર દર વર્ષે 90 લાખ પેસેન્જરોની અવર જવર રહે છે. રોજની 1200 ફ્લાઈટના ઓપરેશનન્સ હોય છે. 15 માર્ચની સવારથી 16 માર્ચની સાંજ સુધી તમામ ફ્લાઈટ સસ્પેન્ડ રખાઈ હતી. દુબઈ એરપોર્ટના ઓપરેશન બંધ રહે તો 24 કલાકમાં 1 અબજ ડોલર એટલે 12 હજાર કરોડથી 15 હજાર કરોડનું નુકસાન UAEને થઈ રહ્યું છે. આ વિશ્વનું સૌથી બિઝી એરપોર્ટ છે. દુબઈથી નજીક UAEનો ફુજૈરાહ દેશ છે. ત્યાં ઓઈલ સ્ટોરેજ ફેસેલિટી છે. તેના પર ઈરાને ડ્રોન હુમલો કર્યો છે. દુનિયાની જરૂરિયાતનું 1 ટકા ઓઈલ ફુજૈરાહ પોર્ટ પર સ્ટોરેજ કરાય છે. હવે હુમલો થતાં સ્ટોરેજ કેપેસિટી ઘટીને અડધી થઈ ગઈ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો 1970-80ના દાયકામાં લેબનોનના બૈરૂતમાં જે સ્થિતિ થઈ હતી તેવી સ્થિતિ દુબઈની થઈ શકે છે. એ વખતે યુદ્ધના કારણે બૈરૂતનું બેન્કિંગ હબ ખતમ થઈ ગયું હતું. એ વખતે બૈરૂત પશ્ચિમ એશિયાનું પેરિસ કહેવાતું હતું. ઈરાન મોટા હુમલા નથી કરતું, નાનાં-નાનાં ઘા મારીને આર્થિક નુકસાન કરે છે ઈરાન એવી રીતે હુમલો કરે છે કે જાનહાનિ ન થાય પણ આર્થિક નુકસાન વધારે થાય. ઈરાન જાણે છે કે દુબઈમાં નાનાં નાનાં ડ્રોન હુમલાથી દુબઈને બહુ નુકસાન નહિ થાય. દુબઈમાં એટલા પૈસા છે કે રાતોરાત બેઠું થઈ શકે તેમ છે. પણ ડ્રોન હુમલા પછી આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડાના વીડિયો વાયરલ થાય ત્યારે દુબઈની ઈમેજ દુનિયામાં ખરાબ થાય છે. એટલે જ દુબઈએ આવા વીડિયો વાયરલ કરનાર સામે પગલાં લીધાં છે. ઈરાન નાનાં નાનાં ઘા મારે છે. ઈરાન માત્ર હથિયારોથી યુદ્ધ નથી લડતું, તે ડરનો ઉપયોગ કરે છે. ઈરાન આ યુદ્ધમાં આર્થિક ફટકો આપવા માગે છે. ન માત્ર અમેરિકાનું, પણ મિડલ ઈસ્ટના સહયોગી દેશોનું પણ આર્થિક નુકસાન કરવા ઈરાને સ્ટ્રેટેજી બનાવી છે. એક સમયે દુબઈ ભારતનો ભાગ હતું!! બહુ ઓછા લોકો જાણતા હશે કે ઓમાન, દુબઈથી લઈ એડન (અત્યારનું યમન) સુધીના આરબ દેશો ભારતનો જ ભાગ હતા. આરબ દેશોમાં જ્યાં જ્યાં બ્રિટીશ સામ્રાજ્ય હતું તે તમામ રાજ્યોનો કંટ્રોલ દિલ્હી પાસે હતો. આ અરબ દેશો પર ઈન્ડિયન પોલિટિકલ સર્વિસ હેઠળ શાસન થતું હતું. ઈન્ટરપ્રિટેશન એક્ટ 1889 હેઠળ આ દરેક સંરક્ષિત દેશ કાયદેસર રીતે ભારતનો ભાગ ગણાતા હતા. એ વખતે ભારત શાસિત રાજ્યોની યાદી અંગ્રેજી આલ્ફાબેટિકલ રીતે શરૂ થતી હતી અને તેમાં સૌથી પહેલું નામ લખાતું- અબુધાબી... વાઈસરોય લોર્ડ કર્ઝને એ વખતે કહેલું કે ઓમાનને પણ ભારતનું રજવાડું ગણવામાં આવે. એક સમયનું એડન આજે યમન તરીકે ઓળખાય છે. યમન સુધીના અરબ દેશોમાં ભારતીય પાસપોર્ટ આપવામાં આવતા હતા. એ વખતે પણ બહુ ઓછા લોકોને ખબર હતી કે બ્રિટીશ રાજ માત્ર ભારતમાં નહોતું, તે આરબ દેશો સુધી ફેલાયેલું હતું. અ વખતે જાહેર કરાયેલા નકશામાં ભારતની સાથે આરબ દેશોને બતાવાતા નહોતા, નહિતર આરબો ઉશ્કેરાઈ જાય તેવું હતું. રોયલ એશિયાટિક સોસાયટીના પ્રોફેસરે એવું કહ્યું હતું કે, જે રીતે કોઈ ઈર્ષાળુ શેખ પોતાની પ્રિય પત્નીને પડદા પાછળ જ રાખે છે તેમ બ્રિટીશ અધિકારી અરબ રાજ્યોની સ્થિતિને રહસ્ય બનાવીને રાખતા હતા. બ્રિટીશ પત્રકારને આરબ દેશોમાં ભારતનું કલ્ચર જોવા મળ્યું 1960માં બ્રિટીશ અખબાર ધ ટાઈમ્સના રિપોર્ટર ડેવિડ હોલ્ડન બેહરિન પહોંચ્યા. એ વખતે બેહરિન બ્રિટનની રક્ષા હેઠળ હતું. ત્યારે અરબ દેશોમાં એક સમારોહ ચાલતો હતો. બ્રિટનના રાણી વિક્ટોરિયા ભારતના મહારાણી બન્યા તેનું સેલિબ્રેશન ચાલતું હતું. આ પત્રકાર ખાડી દેશોમાં દુબઈ, અબુધાબી, ઓમાન ગયા તો તેમને ત્યાં બ્રિટીશ ભારતના કેટલાક સંકેત જોવા મળ્યા. હોલ્ડને નોંધ્યું છે કે, એ વખતે આરબ દેશોમાં કપડાં ધોનારને 'ધોબી' અને વોચમેન માટે 'ચોકીદાર' જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. ઓમાનના સુલતાન રાજસ્થાનમાં ભણ્યા હતા તે કડકડાટ ઉર્દૂ બોલતા હતા. કુવૈતની સેનાના સિપાઈ હૈદરાબાદના સિપાઈના યુનિફોર્મમાં માર્ચ કરતા જોવા મળ્યા હતા. બ્રિટીશરોએ ભારતને ઓઈલ કન્ટ્રી બનાવતાં અટકાવ્યું!! ભારત મજબૂત રીતે ઊભરી રહ્યું હતું તે વાત બ્રિટીશરો જાણી ગયા એટલે ભારતને નબળું પાડવા 1 એપ્રિલ 1937એ ભારતથી યમન (એ વખતનું એડન)ને અલગ કરી નાખ્યું. જ્યારે આઝાદીનો સમય નજીક આવ્યો ત્યારે અંગ્રેજોએ વિચાર કર્યો કે શું ભારત કે પાકિસ્તાનને ફારસની ખાડીની જવાબદારી આપી શકાય? પણ બ્રિટનના રાજનાયિક મિશનના અધિકારીએ એ મિટિંગમાં એવું કહ્યું કે, દિલ્હીના અધિકારીઓ સાથે વાત થઈ છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારને ફારસની ખાડીમાં કોઈ રસ નથી. એટલે ફારસની ખાડીની જવાબદારી આરબ દેશો પાસે જ રાખવી જોઈએ. ભારતની આઝાદી પહેલાં 1 એપ્રિલ 1947ના દિવસે દુબઈથી લઈને કુવૈત સુધીના ખાડી પ્રદેશો ભારતથી અલગ કરી દેવાયા. પછી ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. ભારતને આઝાદી મળી. ભારત અને પાકિસ્તાનમાં ક્યા-ક્યા પ્રાંતો અને રજવાડાંનો સમાવેશ થશે તેની યાદી અંગ્રેજોએ તૈયાર કરી. આ યાદીમાંથી ખાડી દેશોના નામ ગાયબ હતા. આજે 75 વર્ષ પછી પણ ભારત અને ખાડી દેશોના લોકો જાણતા નથી કે એ વખતે કેટલી મોટી ઐતિહાસિક ઘટના હતી. બ્રિટીશરોએ પોતાની રીતે નિર્ણય ન લીધો હોત તો આજે ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ દેશો ભારતનો જ ભાગ હોત. બ્રિટીશરોને ક્રૂડ ઓઈલની લાલચ જાગી ને ભારતથી આરબ દેશો અલગ કરી દીધા બ્રિટીશરોએ ભારત પાસેથી અરબ દેશોનો હક્ક કેમ છીનવી લીધો? તેને ભારતથી અલગ કેમ કરી દીધા? એ વખતના બ્રિટીશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ અધિકારીઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે ભારત અને આરબ દેશો પરનો અધિકાર નથી જોઈતો. તેમને આઝાદ કરી દો. ત્યારે બ્રિટીશ અધિકારીઓએ જ એટલીને ચૂપ કરાવી દીધા. આરબ દેશો હવે ભારતના વાઈસરોયને નહિ પણ વ્હાઈટહોલ (બ્રિટનની સંસદ)ને રિપોર્ટ કરતા હતા. એક્સપર્ટ પોલ રિચે લખ્યું છે કે આરબ દેશો બ્રિટનના ભારતીય સામ્રાજ્યનો અંતિમ કિલ્લો હતો. જેમ ગોવા પોર્ટુગીઝો માટે છેલ્લો કિલ્લો હતો અને પોંડીચેરી ફ્રાન્સનો છેલ્લો કિલ્લો હતો. ભારતથી આરબ દેશો અલગ થયા પછી પણ ત્યાંની કરંસી રૂપિયા જ હતી. ભારતમાંથી અંગ્રેજો ગયા પણ ખાડી દેશોમાં લાંબો સમય રહ્યા. ખાડી દેશોમાં લાંબો સમય રહેવાનું કારણ ત્યાંનો ક્રૂડ ઓઈલનો ખજાનો હતું. અંગ્રેજોનો જીવ ક્રૂડ ઓઈલમાં હતો. અંતે 1971માં બ્રિટીશરોએ ગલ્ફ દેશો છોડી દીધા. હવે ઈસ્ટ ઈન્ડિયા કંપની પછી પહેલીવાર ખાડી દેશો બ્રિટીશ હસ્તક્ષેપ વગર પોતાની રીતે સ્વતંત્ર્ય નિર્ણય લઈ શકે તેમ હતા. આજે દુબઈથી માંડીને યમન સુધીના આરબ દેશો બ્રિટીશરોને યાદ કરે છે પણ એ ભૂલી ગયા છે કે એક સમય એવો હતો કે આ દેશો પર દિલ્હીનું શાસન હતું. આજનું દુબઈ આલિશાન કેવી રીતે બન્યું? 1980ના દાયકામાં જે વિસ્તારમાં રણની ધૂળ ઊડતી હતી તે દેશમાં અત્યારે ગગનચૂંબી ઈમારાતો, હાઈફાઈ મોલ, પહોળા રસ્તા અને લક્ઝૂરિયસ લાઈફ સ્ટાઈલ છે. દુબઈમાં આજે 200 દેશોના લોકો રહે છે. દુબઈ અને અબુધાબીના શાસકોએ અંગ્રેજો ગયા પછી તરત નક્કી કરી લીધું કે આપણે આપણા દેશને કઈ દિશામાં લઈ જવો છે. દુબઈને 'દુબઈ' બનાવવાનું વિઝન શેખ રાશીદ અલમકતુમનું હતું. જેને તેના દીકરા શેખ મોહમ્મદ અલમકતુમે પૂરું કર્યું. બીજા એક હતા શેખ ઝાયદ. તેમણે સાત દેશોને ભેગા કરીને UAEના નિર્માણનો કન્સેપ્ટ આપ્યો. બધા દેશોને એક કર્યા એટલે UAE દુનિયાના નકશામાં ઊભરી આવ્યું. દુબઈના રાજાના વંશજોએ દુબઈને ઓઈલ નિર્ભર રહેવાના બદલે બિઝનેસ હબ બનાવી દીધું. શેખ રાશીદ અલમકતુમના વિઝનના કારણે જ આપણે અત્યારના દુબઈને આટલું સમૃદ્ધ જોઈએ છીએ. તેમણે વિચાર્યું કે હું દુનિયાના વેપારીઓને સુવિધા આપીશ તો એ લોકો અહીં આવીને રોકાણ કરશે ને દેશને ફાયદો થશે. દુબઈમાં કન્સ્ટ્રક્શન ઝડપથી વધતું ગયું. એક સમય એવો આવ્યો કે દુનિયામાં સૌથી વધારે લેબર અને ક્રેન દુબઈમાં હતા. દુબઈના ઝડપી વિકાસને જોઈને સંખ્યાબંધ દેશોના લોકો UAE અને દુબઈ કામ માટે પહોંચ્યા. આજે પણ UAEમાં 43 લાખ ભારતીયો રહે છે અને તેમાંથી એકલા દુબઈમાં 20 લાખ ભારતીયો રહે છે. દુબઈની મજબૂત ઈકોનોમીનો આધારસ્તંભ- ટુરિઝમ દુબઈની જાહોજલાલી જોવા લોકો જવા લાગ્યા. અત્યારના દુબઈના રાજા શેખ મોહમ્મદે એવું વિચાર્યું કે જે ક્યાંય ન હોય એ દુબઈમાં હોય. એવું ઈન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ કર્યું. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બનાવી, રણની સુકી ધરતી પર મિરેકલ ગાર્ડન બનાવીને લાખો ફૂલ ખિલવ્યા. દુબઈ ફ્રેમ, મ્યુઝીયમ ઓફ ફ્યૂચર બનાવીને દુબઈને નવી ઓળખ આપી. મ્યુઝીયમ ઓફ ફ્યૂચર બનાવ્યું. તેમાં તો 2050માં દુબઈ કેવું હશે, તેની અદ્દભૂત કલ્પના બતાવતા 7 માળ બનાવાયા છે. આ બધું ટુરિઝમને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. ડેઝર્ટ સફારી, ડોલ્ફીન શો પણ આકર્ષણનું કેન્દ્ર છે. ટુરિઝમ સિવાય પણ અલ બુર્જ અરબ હોટેલ દરિયામાં ટાપુ પર બનાવી છે. વહાણના શઢ આકારની આ હોટેલ પાસે જઈને ટુરિસ્ટો ફોટા પડાવે છે. વાહ... બોલી ઉઠે છે. 2026માં આ હોટેલ લોકોને આકર્ષે છે પણ દુબઈના શેખે તેને 1999માં જ બનાવી લીધી હતી. કેટલું દૂરંદેશી વિઝન હશે. પામ જુમેરાહ બંગલાની કોલોની છે. દરિયામાં પાંદડાના આકારમાં બનાવાઈ છે. આ કૃત્રિમ ટાપુ બનાવવા લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ નથી થયો. સમુદ્રના તળિયેથી 120 બિલિયન ક્યૂબિક મીટર રેતી કાઢીને ટાપુ બનાવાયો છે. દુબઈના અખબાર ખલીજ ટાઈમ્સના બિઝનેસ એડિટર મુઝકર રિઝવી કહે છે કે દુબઈએ છેલ્લા 18 વર્ષોમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે જે દુબઈને અલગ બનાવે છે. 2005, 2006માં બુર્જ ખલીફા, દુબઈ મોલ અને દુબઈ મેટ્રો જેવા મેગા ડેવલપમેન્ટની જાહેરાત કરી અને 2008માં વૈશ્વિક મંદી વચ્ચે પણ આ પ્રોજેક્ટ પૂરા કર્યા. દુબઈની બે મુખ્ય ઈન્કમ છે. એક, ઈન્ટવેસ્ટમેન્ટ અને બીજું, ટુરિઝમ. અત્યારે બંને પર જોખમ છે. ટુરિસ્ટોને દુબઈ ચૂંબકની જેમ આકર્ષે છે. રેકોર્ડ એ રહ્યો છે કે 2024ના એક જ વર્ષમાં દુબઈમાં 2 કરોડ ટુરિસ્ટ પહોંચ્યા હતા. છેલ્લે, દુબઈના રાજા શેખ મોહમ્મદે તેના ઉત્તરાધિકારી તરીકે સાત દીકરામાંથી એકની પસંદગી કરી લીધી છે. તેનું નામ છે શેખ હમદાન. ભવિષ્યમાં તે દુબઈના રાજા બનશે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર ફિગર છે. તેમણે બુર્જ ખલીફાની ટોચ પરના ટાવર પર બેસીને કોફી પીધી છે. તેની પાસે શુદ્ધ સોનામાંથી બનેલી મર્સિડીસ કાર છે. હોર્સ રાઈડીંગ, ટ્રેકિંગ, ડ્રાઈવિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનો જબરો શોખ છે. તેના ફાર્મ હાઉસમાં 1 હજાર ઘોડા અને 120 ઊંટ છે. શેખ હમદાન ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે તેની ચોથી દીકરીનું નામ હિન્દ રાખ્યું હતું. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
વઢવાણ હવામહેલ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ:21-22 માર્ચે આયોજન, 30 હજાર મુલાકાતીઓ અપેક્ષિત
સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક વઢવાણ હવામહેલ ખાતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ્સ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારુ સંચાલન અને પૂર્વતૈયારીઓ માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન ન બની રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનવો જોઈએ. મહોત્સવનો મુખ્ય હેતુ 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ'ની સાતત્યતા જાળવી ખેડૂતોને જાડા ધાન (મિલેટ) અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવાયું હતું. આ મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 જેટલા મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ સાથે સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત 'રેડી ટુ ઈટ' વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિત જુદાજુદા 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. આ ઉપરાંત, સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે. આ મહોત્સવ થકી આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે મિલેટ્સ અત્યંત ઉપયોગી છે, તેવો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું આયોજન છે. સમીક્ષા બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ખાસ કરીને ઈરાન સહિતના ગલ્ફ દેશોની તંગદિલીની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તાવા લાગી છે. દમણમાં દૈનિક વ્યવહારમાં વપરાતી પ્લાસ્ટિકની નાની થેલીઓ અને પ્લાસ્ટિકના પેકેજિંગના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્લાસ્ટિકનો માલસામાન તૈયાર કરવા માટેનું મુખ્ય રો-મટીરીયલ, એટલે કે પ્લાસ્ટિકના દાણા, ગલ્ફના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાને કારણે આ પ્લાસ્ટિકના દાણાનો ભાવ અગાઉના 110 રૂપિયા પ્રતિ કિલોથી વધીને સીધો 180 રૂપિયા પર પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં થયેલા આ વધારાને પગલે પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ઉછાળો આવ્યો છે. બજારમાં મળતી પ્લાસ્ટિકની નાની થેલીનો ભાવ, જે પહેલા ૧૨૦ રૂપિયા હતો, તે હવે 160 થી 180 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. આ ઉપરાંત, પ્લાસ્ટિકની બોટલોમાં આવતા સીલ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ભાવમાં પણ બોક્સ દીઠ 20 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. દમણ પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે 120 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક દુકાનદારો સરકારી નિયમોનું પાલન કરીને 200 માઇક્રોનની જાડી થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, આ જાડી થેલીઓ પાછળ થતો ખર્ચ હવે અસહ્ય બની રહ્યો છે. ટામેટાં કે શિંગદાણા જેવી રોજિંદી વસ્તુઓ આપવા માટે પણ આ મોંઘી થેલીઓ વાપરવી પડતી હોવાથી દમણના નાના વેપારીઓ, લારી ધારકો અને શાકભાજી વેચતા વિક્રેતાઓ ભારે આર્થિક ભીંસમાં મુકાયા છે. તેમને ગ્રાહકોને સામાન આપવા માટે વપરાતી થેલીઓ પાછળ 60 થી 80 રૂપિયા વધારે ચૂકવવા પડી રહ્યા છે, જે તેમના રોજના નજીવા નફા પર મોટો ફટકો મારી રહી છે.
બોટાદ શહેરમાં SOG પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન નવનાળા વિસ્તાર અને સાળંગપુર રોડ પરના વિવિધ ફૂડ પોઈન્ટ્સ પરથી પાંચ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ અને મીયા સમોસા જેવા ફૂડ પોઈન્ટ્સ પર ઘર વપરાશ માટેના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમોનું ઉલ્લંઘન છે. SOG પોલીસે કુલ પાંચ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર જપ્ત કરીને મામલતદારને સોંપ્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રીતે ગેસનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ શહેર નજીક કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી પરપ્રાંતિય યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મૃતક યુવતી 12 દિવસ પહેલા વાંકાનેરના તીથવા ગામેથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બાદમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને ફોન કરી 'તમારી દીકરી મરી ગઈ છે' તેમ કહેતા પરિવારજનો દોડી આવ્યા હતાં દરમિયાન યુવતી લાશ ઓરડીમાંથી મળી આવી હતી જેને હોસ્પિટલ ખસેડતા તબીબો દ્વારા ઝેર પીધાની શંકા વ્યક્ત કરવામાં આવતાં મોતનું ચોક્કસ કારણ જાણવા કુવાડવા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી પ્રેમી વિરુદ્ધ બેદરકારી દાખવી મોત નિપજાવવા અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી જોગાભાઇ દીતીયાભાઇ ભુરીયા (ઉ.વ.47)એ જણાવ્યું હતું કે, હું ખેતી કામની મજુરી કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મારે સંતાનમાં એક દિકરી તથા ત્રણ દિકરા છે. સૌથી મોટી દિકરી શરમાબેન ઉર્ફે શારમતી છે. ગઇ તા.03.03.2026ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યે મારી દિકરી ગાયબ હતી જેથી મે તથા મારી પત્ની નુરાબેન તથા મારા દિકરાઓએ અમારી વાડીમાં તપાસ કરતા દિકરી મળી ન આવતા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ગયો જ્યાં પોલીસ અધિકારીએ મારી દિકરીના જન્મ તારીખનો દાખલો કે આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ મારી પાસે કોઇ આધાર પુરાવા ન હોવાથી પોલીસે આધાર પુરાવા આપો પછી કાર્યવાહી કરીશ તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ તા.05.03.2026ના રોજ મને બુસા દુલા રાઠોડએ ફોન કરી તમારી દિકરી શરમા મારી સાથે છે તેમ કહી મને શરમા સાથે વાત કરાવી હતી ત્યારબાદ તેને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તા.07.03.2026ના રોજ હુ મારી દિકરીના જન્મના આધારા પુરાવા માટે મારા વતન ખાતે ગયો હતો અને ત્યાથી હુ આ બુસા દુલા રાઠોડની તપાસ કરવા માટે ગયો હતો ત્યા ગામના સરપંચને મળ્યો પરંતુ મારી દિકરી શરમા કે બુસા વતનમાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતુ. તા.16.03.2026ના રોજ હુ મારા ધરે હતો ત્યારે સવારના આશરે 7 વાગ્યે મારા ભાઇનો દિકરો સુનીલ રૂબરૂ આવી જણાવ્યું કે બુસાએ મને ફોન કર્યો હતો અને મને કહ્યું કે શરમાએ રાત્રીના 12 વાગ્યે દવા પી લીધી છે જેથી મે કહ્યું કે તુ નજીકના દવાખાને લઇ જા નહીતર તે મરી જાશે તેમ કહેતા તેણે ફોન કાપી નાખ્યો હતો અને ફરી પાછો ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી મારા કૌટુંબીક જમાઇ કમલભાઇ રાજકોટ નજીકમાં રહેતા હોય જેથી તેમને જાણ કરી હતી અને આ કમલભાઇ ત્યા બનાવવાળી જગ્યાએ ગયા હતા અને તેણે મને જણાવ્યું કે રફાળા ગામ સુરેશભાઈ સેલડીયાની વાડીએ તમારી દિકરી શરમા મરણ ગયેલ છે અને આ બુસો અહીંથી ભાગી ગયેલ છે પોલીસ પણ આવી ગઈ છે અને તેની લાશ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે પોસમોર્ટમ કરવા માટે લઇ જાય છે. આ પછી અમે બધા રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા હતા ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું કે મારી દિકરી શરમાનુ મોત 18 થી 36 કલાક દરમ્યાન ઝેરી દવા પી જવાના કારણે મોત થયું છે. મારી દિકરી શરમાબેન ઉર્ફે શારમતી ભુરીયા ગઇ તા.16.03.2026ના રોજ સવારના 7 વાગ્યા પહેલા કોઇપણ સમયે ઝેરી દવા પી ગઈ હોવાનું જાણવા છતા મારી દિકરી ને દવાખાને નહી પહોંચાડતા મારી દિકરીનું મોત થયું છે જેથી પોલીસે બુસા દુલાભાઇ રાઠોડ વિરુધ્ધ બેદરકારી દાખવા બદલ BNS કલમ 106(1) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉનામાં 2016ના ચકચારી હત્યા કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી. આ ઘટના 2016માં ઉનાના મોટા સમઢીયાળા ગામમાં બની હતી. ગાયના મૃતદેહને લઈને બનેલા આ બનાવમાં કથિત ગૌરક્ષકોએ બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેમને ગાડી સાથે બાંધીને ઉના બજારમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. દસ વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં 42 આરોપીઓમાંથી 37ને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે, જ્યારે માત્ર પાંચ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. પીડિત પરિવારો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોના મતે, તેમના જીવને હજુ પણ જોખમ છે અને તેઓ ચુકાદાથી હતાશ થયા છે. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે, વશરામભાઈ અને બાલુભાઈ સરવૈયાએ તમામ આરોપીઓને ઓળખી કાઢ્યા હોવા છતાં, માત્ર પાંચ આરોપીઓને પાંચ વર્ષની સજા થવાથી પીડિત પરિવારોમાં રોષ છે. તેમણે સરકાર પર પીડિત પરિવારોને આત્મસન્માનપૂર્વક જીવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો. તેમણે ઉમેર્યું કે, 2018 અને 2023માં જામીન પર છૂટેલા કેટલાક આરોપીઓએ ફરીથી હુમલો કર્યો હતો, જેમાં એક કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા અને એક કેસ હજુ પેન્ડિંગ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવે. તેમણે પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા, તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અપાયેલા વચન મુજબ ખેતીની જમીન અને સરકારી નોકરી આપવા તથા ફરીથી ઉના કાંડ ન બને તે માટે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
પાલનપુર કોંગ્રેસમાં શહેર પ્રમુખની નિમણૂક સામે વિરોધ:સાંસદ ગેનીબેન પર પેરાશૂટ ઉમેદવાર ઉતારવાનો આરોપ
બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિરોધ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવા પ્રમુખની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે. આ આગેવાનોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પર સીધા આરોપો લગાવ્યા છે. તેમનો મુખ્ય વાંધો કૌશલ પટેલની નિમણૂક સામે છે, જેઓ પાર્ટીના સભ્ય ન હોવા છતાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લગભગ 70 જેટલા સભ્યો અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ આ નિમણૂકનો વિરોધ કર્યો છે જેઓ આગેવાન નેતા ઓ લેટર માં સહી કરાવી ને પ્રેસ કોન્ફરન્સ માં રજુ કર્યું હતું . તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિમણૂક રદ કરવામાં નહીં આવે, તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામા આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરશે. આ વિરોધ કરનારા કોંગ્રેસી આગેવાનોનો આરોપ છે કે સાંસદ ગેનીબેન ઠાકોરે 'પેરાશૂટ ઉમેદવાર' ઉતાર્યો છે, જે પાર્ટીના નિયમો અને કાર્યકરોની ભાવના વિરુદ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે પશુ આહારની આડમાં લઈ જવાતો રૂ. 97.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના બલદાણા ગામના પાટિયા નજીકથી આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આઈસર ગાડીમાંથી કુલ રૂ. 97,74,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 87,24,400ની કિંમતની 7781 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને રૂ. 20,240ના 92 બીયર ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. 10 લાખની આઈસર ગાડી (નંબર GJ-15-AV-7102), રૂ. 10,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 20,000ના 200 પ્લાસ્ટિકના પશુ આહારના કટ્ટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે બલદાણા ગામના પાટિયા નજીક આવેલી ગેલોપ્સ હોટલ પાસે હાઇવે રોડ પરથી આઈસર ગાડીના ચાલક અચલારામ આસુરામ સિયાગ જાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર બાબજી , દારૂ ભરેલી ગાડી આપી જનાર અજાણ્યો માણસ, ટ્રક માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો માણસ સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવનિર્મિત 'જન સંપર્ક કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. આ 'જન સંપર્ક કેન્દ્ર' નાગરિકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના કાર્યરત થવાથી સામાન્ય નાગરિકો માટે પોલીસનો સંપર્ક કરવો વધુ સરળ બનશે અને તેમની રજૂઆતોનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે. મુલાકાતના ભાગરૂપે, ડીઆઈજીએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી. તેમણે પોલીસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. પોલીસની રોજિંદી કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવા માટે તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી જ નહીં, પરંતુ ભવિષ્યના આધુનિક અને હાઈ સ્પીડ કનેક્ટિવિટી ધરાવતા ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયન્સ સેન્ટર ખાતે સુરત ઇકોનોમિક રિજન કનેક્ટ ધ સ્માર્ટ હાઈ સ્પીડ ઓપોર્ચ્યુનિટીઝ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતના ભવિષ્યલક્ષી વિકાસ અને ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટીથી સર્જાનારી તકો વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી વિકાસની નવી તકો સર્જશેઃ એમ. નાગરાજનકાર્યક્રમની શરૂઆતમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર અને સુડાના અધ્યક્ષ એમ. નાગરાજન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરત શહેર અને સમગ્ર સુરત ઇકોનોમિક રીજનના ભવિષ્યલક્ષી વિકાસ માટે એક મજબૂત મંચ પૂરો પાડવાનો છે. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી દ્વારા જે વિકાસની નવી તકો સર્જાશે, તે માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ તે સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અને પ્રાદેશિક આર્થિક મજબૂતીકરણમાં પણ ક્રાંતિકારી ફેરફારો લાવશે. સુરતને એક આયોજનબદ્ધ અને ઇન્ટિગ્રેટેડ અર્બન હબ તરીકે વિકસાવવા માટે પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ અનિવાર્ય છે. નિષ્ણાતો દ્વારા સુરતના સર્વાંગી વિકાસ માટે રજૂઆતકાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સુરતના સર્વાંગી વિકાસ અંગે પોતાની રજૂઆતો કરી હતી, જેમાં ગુજરાત સરકારના નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગના અધિક મુખ્ય નગર નિયોજક દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રાન્સફોર્મેટિવ ઇમ્પેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી લોન્ગ-ટર્મ ડેવલપમેન્ટ પોટેન્શિયલ અને કનેક્ટિવિટીના અદભૂત ફાયદા થશે. સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ વિશે ખાસ ચર્ચાNHSRCLના ચીફ આર્કિટેક્ટ એમ.એસ. કામિની શર્માએ પ્રોજેક્ટની પ્રગતિ અને ખાસ કરીને સ્ટેશન એરિયા ડેવલપમેન્ટના ભવિષ્યના પરિપ્રેક્ષ્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્ટેશનની આસપાસના વિસ્તારોને કેવી રીતે સ્માર્ટ અને સુવિધાજનક બનાવવામાં આવશે તેની બ્લુપ્રિન્ટ રજૂ કરાઈ હતી. નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર એમ.એસ. અન્ના રોયે રીજનલ અર્બનાઇઝેશન અને પોલિસી પર્સ્પેક્ટિવ પર ભાર મૂકતા જણાવ્યું કે, ટ્રાન્ઝિટ લિંક્ડ ગ્રોથથી શહેરી વિસ્તરણ વધુ ટકાઉ અને વ્યવસ્થિત બનશે. ડોરિયન સ્કેલના સ્થાપક અને CEO ડો. પૂર્ણિમા ડોરે પ્રાદેશિક આર્થિક વિકાસ અને રોકાણની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સુરતની પ્રાદેશિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આર્થિક સ્ટ્રક્ચરિંગ પર ભાર મૂક્યો હતો. રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર ભાર મુકાશેઆ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ સુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી અને IAS અધિકારી રાજ સુથારે તેમના સંબોધનમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના H-Node Area Development વિશે મહત્વની માહિતી આપી હતી. સુડા વિસ્તારમાં સૂચિત ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ (TP Schemes)ના માધ્યમથી આ વિસ્તારને સુઆયોજિત અને ભવિષ્યલક્ષી બનાવવા માટે રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર કામ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, નવા NHSRCL સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવો જરૂરી છે. જેમાં લેન્ડ યુઝ પ્લાનિંગ, રોજગારીની તકોનું સર્જન, રોકાણની સંભાવનાઓ અને ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ જેવા વિષયો કેન્દ્રસ્થાને રહેશે. આ મંચ દ્વારા સુરતને વધુ ગતિશીલ, આર્થિક રીતે પ્રગતિશીલ અને ભવિષ્ય માટે તૈયાર કરવા માટેના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરી વિકાસ સત્તામંડળનો આ પ્રયાસ આવનારા સમયમાં સુરતને વૈશ્વિક નકશા પર એક સુનિયોજિત અને સ્ટ્રેટેજિકલી પ્લાન્ડ અર્બન રીજન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પાટણ ગ્રાહક કોર્ટે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ને પાટણના એક પ્રોફેસરને તેમની 24 વીમા પોલિસીઓની પાકતી રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. LIC દ્વારા ઉત્તરાધિકાર પ્રમાણપત્રના બહાને રકમ ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હતો. પાટણ શહેરની કલાનગર સોસાયટીમાં રહેતા પ્રોફેસર મયુરકુમાર બાબુલાલ પ્રજાપતિએ 27 માર્ચ, 2005થી જીવન વીમાની 'જીવન આનંદ' નફા અને અકસ્માત બેનિફિટ સાથેની 24 પોલિસીઓ લીધી હતી. આ પોલિસીઓનું પ્રીમિયમ દર છ મહિને ₹35,526 ચૂકવવામાં આવતું હતું. 25 સપ્ટેમ્બર, 2012 ના રોજ, મયુરકુમારે આ તમામ પોલિસીઓ તેમના પિતાને તેમની નિવૃત્તિ બાદ પાકતી રકમ મળે તે હેતુથી એસાઇન કરી હતી. જોકે, પોલિસીઓની પાકતી મુદત પહેલા 25 ડિસેમ્બર, 2020 ના રોજ તેમના પિતાનું અવસાન થયું. પાકતી મુદતે આશરે ₹24 લાખની રકમ મેળવવા માટે, મયુરકુમાર પ્રજાપતિએ પેઢીનામું, મરણનો દાખલો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને KYC ના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. પરંતુ, LIC દ્વારા આ દસ્તાવેજો પરત કરીને મૃતકના એક કરતાં વધારે વારસદાર હોવાથી ઉત્તરાધિકાર પ્રમાણપત્રની માંગણી કરવામાં આવી હતી. આથી, મયુરકુમાર પ્રજાપતિ, તેમના માતા શારદાબેન અને બહેન દિગિશાબેને LIC ઓફ ઈન્ડિયા, પાટણ બ્રાન્ચ સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી. તેમના વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ દલીલ કરી કે અરજદાર દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મૃતકના કાયદેસરના વારસદારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો LIC ની પાકતી રકમ મૂળ વીમાધારક મયુરભાઈ પ્રજાપતિને આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ સંજોગોમાં ઉત્તરાધિકાર પ્રમાણપત્રની કોઈ જરૂર રહેતી નથી. જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને જીવન વીમા નિગમની દલીલને ફગાવી દીધી. કમિશને અરજદાર મયુરભાઈને વીમા પોલિસીઓની પાકતી રકમ અરજી કર્યા તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9% ના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત, ખર્ચ અને માનસિક ત્રાસ બદલ અલગથી ₹4000 ચૂકવી કમિશનને જાણ કરવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં જિલ્લા ગ્રાહક કમિશનના સભ્ય વી.એમ. સ્વામીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના સહયોગથી અમદાવાદમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસપૂર્ણ ગ્રાહકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2026 ની આ થીમ ગ્રાહકોના રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવત્તા અને સુરક્ષાના મહત્વને રેખાંકિત કરે છે. કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ (CRI) નો પ્રસ્તાવકાર્યક્રમમાં ખાસ સંબોધન કરતા CERC ના ચેરમેન ડૉ. સુનિલ પારેખે આધુનિક બજારની જટિલતાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) એક મહત્વનું માધ્યમ બનશે. આ પ્રોજેક્ટ હેઠળ કંપનીઓને ઉત્પાદન સલામતી, ફરિયાદ નિવારણ અને પારદર્શક માર્કેટિંગ જેવા સ્તંભો પર રેટિંગ આપવામાં આવશે, જે નૈતિક વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપશે. ઉત્પાદન પરીક્ષણમાં CERC ની અગ્રેસર ભૂમિકાCERC ના CEO અને ઉપપ્રમુખ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ, અનિંદિતા મહેતાએ સંસ્થાની કામગીરીની ઝાંખી કરાવી હતી. CERC એશિયાની એવી ગણીગાંઠી સંસ્થાઓમાંની એક છે જે ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે પોતાની ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી ધરાવે છે. સંસ્થા સતત અસુરક્ષિત ઉત્પાદનોને ઓળખીને તેને નિયમનકારો અને જનતા સમક્ષ લાવવાનું કાર્ય કરે છે. BIS પ્રમાણપત્ર અને ગ્રાહક સુરક્ષાBIS અમદાવાદના ડિરેક્ટર અને વડા સુમિત સેંગરે ગ્રાહકોના રક્ષણમાં માપદંડોના ફાળા વિશે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે BIS પ્રમાણપત્ર એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ ઉત્પાદન બજારમાં મુકાય તે પહેલા સુરક્ષા અને ગુણવત્તાના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આ પ્રસંગે ઉત્પાદન સલામતી પરના સર્વેક્ષણ અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવતો આ દિવસ વિશ્વના 100 થી વધુ દેશોના 200 થી વધુ ગ્રાહક સંગઠનોને એક મંચ પર લાવે છે, જેથી અન્યાયી વેપાર પ્રથાઓ સામે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરી શકાય.
શક્તિપીઠ બહુચરાજી ખાતે પરંપરાગત રીતે યોજાતા સુપ્રસિદ્ધ ચૈત્રી પૂનમના મેળાનું આયોજન આ વર્ષે 31 માર્ચથી 02 એપ્રિલ, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મેળાને ભવ્ય અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસવામાં આવી છે. 17 માર્ચના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આયોજનની આખરી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકમેળાના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લાની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતીક છે. મેળામાં આવતા હજારો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમણે દરેક સમિતિના કન્વીનર અને સહ-કન્વીનરોને પોતપોતાની જવાબદારીઓ સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. સુવિધાઓ અને વ્યવસ્થાનું માળખું શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં મુખ્યત્વે: હરાજી અને પ્લોટ ફાળવણી: મેળાના મેદાનમાં સ્ટોલ અને પ્લોટોની જાહેર હરાજી કરી વ્યવસ્થિત ફાળવણી કરવી. સ્વચ્છતા અને આરોગ્ય: મેળા દરમિયાન સતત સાફ-સફાઈ જળવાય અને ઈમરજન્સી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે ખાસ ટીમ તૈનાત રહેશે. પાણી અને વીજળી: યાત્રાળુઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને મેળાના સ્થળે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. સુરક્ષા અને ટ્રાફિક: ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ: શ્રદ્ધાળુઓના મનોરંજન માટે પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર આશિષ મિયાત્રા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મેળાને સફળ બનાવવા માટેના સૂચનો રજૂ કર્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટ એક્સ્પો-2026’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.21 અને 22 માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે, આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતાં. ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળ, નાયબ ખેતી નિયામક એસ.બી. વાઘમશી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન. પરમાર, નાયબ પશુપાલન નિયામક તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનાના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોટેશ્વરમાં આવેલી મધુરમિલન આવાસ યોજનામાં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં શરતોનો ભંગ કરી ભાડે આપેલા 33 મકાનોને મકાનો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ મકાન માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે અને મકાનોને ખાલી કરી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. EWS આવાસમાં 266 મકાનોની ફાળવણી કરાઈ હતીઅમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ મોટેરા નજીક આવેલા કોટેશ્વર ખાતે 'મધુરમિલન આવાસ યોજના'નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ 266 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં સૌથી વધારે સારી રહેવાની સગવડો મધ્યમ વર્ગીય પરિવાર માટે કરવામાં આવી છે. કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધાઔડા દ્વારા બનાવવામાં આવેલી મધુર મિલન આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું ઔડાના એસ્ટેટ એન્ડ હાઉસિંગ સેલના ધ્યાને આવ્યું હતું. જેથી વિવિધ તપાસ ટીમો બનાવીને સવારથી જ વાગ્યાથી મધુરમિલન આવાસના કુલ 8 બ્લોકના 266 મકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યુંઆ તપાસ દરમિયાન કુલ 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યું હતું. ઔડાની તપાસ ટીમ દ્વારા આ તમામ 33 મકાન માલિકોને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં મકાનોમાં સીલ લાગી શકે છેમકાનો ખાલી થયા બાદ આ આવાસોને સીલ કરવાની આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પણ ઔડા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રાહત દરે ફાળવવામાં આવેલા મકાનોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે રહેતા અને આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરનારાઓ સામે સત્તામંડળ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણા શહેરના નાગલપુર ચાર રસ્તા પાસે આવેલી એક હોટેલમાંથી રાજસ્થાનના શ્રમિકના 6.60 લાખ રૂપિયાની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. વતનમાં સામાજિક પ્રસંગ હોવાથી મજૂરીના એકઠા કરેલા નાણાં લઈને જઈ રહેલા શ્રમિકનો થેલો હોટેલ સંચાલકને ભરોસે મૂકવો ભારે પડ્યો છે. આ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વતનમાં પ્રસંગ હોવાથી પૈસા લઈને નિકળ્યો હતોમૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના પાદુકલા ગામના વતની અને હાલ જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામે ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા તારાચંદ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, તે છેલ્લા ચાર વર્ષથી અહીં ઠેકેદાર તરીકે મજૂરો લાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 30 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના વતનમાં સામાજિક પ્રસંગ હોવાથી જવા નીકળ્યા હતા. તેમની પાસે ખેતર માલિકો પાસેથી મેળવેલી મજૂરીના કુલ 6.60 લાખ રૂપિયા રોકડા હતા. જે તેમણે એક કાળા રંગની થેલીમાં ભરી પોતાના થેલામાં મૂક્યા હતા. પરત આવી થેલાની તપાસ કરતા હોશ ઊડી ગયાંરાત્રિના સમયે લક્ઝરી બસની રાહ જોતા તેઓ નાગલપુર ચાર રસ્તા પાસે આવેલી બાબા રામદેવ હોટેલ પર જમવા ગયો હતો. આ હોટેલના માલિકો સાથે અગાઉના પરિચયને કારણે જ્યારે હોટેલ સંચાલક નિકુલ પ્રજાપતિએ તેમને ચા પીવા જવા કહ્યું ત્યારે તારાચંદ પોતાનો નાણાં ભરેલો થેલો બીજા સંચાલક પ્રકાશ પ્રજાપતિને સોંપી ચા પીવા ગયા હતા. અડધા કલાક બાદ પરત આવી, જ્યારે તેઓ લક્ઝરી બસમાં બેઠા ત્યારે તેમને થેલાનું વજન ઓછું લાગતા તપાસ કરી હતી. જોતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે થેલામાંથી 6.60 લાખ રૂપિયા ગાયબ હતા. પતનમાંથી પરત ફરી પોલીસ ફરિયાદ નોંધાવીતેઓ તુરંત બસમાંથી ઉતરી હોટેલ પર પરત ફર્યા હતા અને સંચાલકોને પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. વતનમાં પ્રસંગ હોવાથી તેઓ તે સમયે રાજસ્થાન જતા રહ્યા હતા અને દોઢ મહિના બાદ પરત આવીને હવે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આજે સરકારી જમીન ખુલ્લી કરાવવા ગયેલી મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમને ભારે ફિયાસ્કાનો સામનો કરવો પડ્યો છે. જંગલ ખાતાની કિંમતી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા જેસીબી અને સાધન સામગ્રી સાથે ત્રાટકેલી ટીમ પર સ્થાનિકોએ રીતસરનો હલ્લો બોલાવતા કામગીરી અધવચ્ચે જ પડતી મૂકવાની ફરજ પડી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે હુમલો થવાની ભીતિ વચ્ચે મનપાની ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, જેના કારણે સરકારી તંત્રના વટના લીરેલીરા ઉડ્યા છે. જંગલ ખાતાની જગ્યા પર લાંબા સમયથી દબાણઘટનાની વિગત મુજબ કુડાસણ વિસ્તારમાં જંગલ ખાતાની આરક્ષિત જગ્યા પર કેટલાક તત્વો દ્વારા લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદે ત્યાં ગેરકાયદેસર રીતે ફેન્સિંગ કરી દેવામાં આવ્યું હતું અને અંદરના ભાગે પ્લાન્ટેશન કરીને જમીન પોતાની હોવાનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો. આ લેન્ડ ગ્રેબિંગ સમાન પ્રવૃત્તિ પર બુલડોઝર ફેરવવા માટે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ હોબાળો મચાવ્યોએજ ઘડીએ કેટલાક સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી હોબાળો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો ગરમાયો હતો અને લોકોએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓ પર હુમલોની શક્યતાથી કામગીરી અટકાવીએક તબક્કે ટોળું આક્રમક બનતા અને અધિકારીઓ પર હુમલો થવાની શક્યતા જણાતા સુરક્ષાના કારણોસર દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જે દબાણો દૂર કરવા માટે તંત્રએ આખી વ્યુહરચના ઘડી હતી તે દબાણો યથાવત રાખીને જ ટીમ રવાના થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર કુડાસણ પંથકમાં ભારે ચર્ચા જાગી છે કે શું તંત્ર દબાણકારો સામે નતમસ્તક થઈ ગયું છે? ઉચ્ચ અધિકારીઓ હવે આ મામલે કેવા કડક પગલાં ભરે છે અને જંગલ ખાતાની આ જમીન ક્યારે મુક્ત થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
વિધાનસભામાં રોડ-રસ્તાના વિકાસ કામોને લઈને ચર્ચા દરમિયાન રાજકીય ટકરાવ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિસ્તારમાં થયેલા રોડના કામો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના મંત્રીઓ તરફ ઈશારો કરતા ટિપ્પણી કરી કે “હવે તેમને તમારી સાથે લઈ જાઓ.” આ ટિપ્પણી બાદ ગૃહમાં થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ગૃહમાં પટોળા સાડીનું ‘મેચિંગ’,મહિલા ધારાસભ્યો વચ્ચે ફેશનની ચર્ચાવિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિરામ મળતા ગૃહમાં રાજકારણથી અલગ જ દૃશ્ય જોવા મળ્યું. મંત્રી દર્શના વાઘેલા અને સંગીતા પાટીલ, માલતીબેન મહેશ્વરી, મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર સહિતના મહિલા ધારાસભ્યો પટોળા સાડી અંગે ચર્ચા કરતા જોવા મળ્યા. કોણે કઈ ડિઝાઇન પહેરી, રંગ અને મેચિંગ વિશેની ચર્ચા ગૃહની અંદર થોડા સમય માટે ચર્ચાનો વિષય બની. રાજકીય ચર્ચાઓ વચ્ચે આ ફેશન ટોક ગૃહના વાતાવરણને હળવું બનાવતી જોવા મળી. વાંચ્યા વગર જવાબ આપતા મંત્રી દર્શના વાઘેલા, અધ્યક્ષે જાહેરમાં અભિનંદન આપ્યાગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબ દરમિયાન મંત્રી દર્શના વાઘેલાએ કોઈ નોંધ વાંચ્યા વગર જ આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપી દીધો. તેમના આ આત્મવિશ્વાસથી અધ્યક્ષ પણ પ્રભાવિત થયા અને ગૃહમાં તેમને અભિનંદન પાઠવ્યા. ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ પણ ચિઠ્ઠી મોકલી તેમને અભિનંદન આપ્યા હોવાનું જાણવા મળ્યું. આ ઘટના બાદ ગૃહમાં થોડો સમય માટે હળવો માહોલ સર્જાયો હતો. બે હાથ ખીસ્સામાં રાખીને પ્રશ્ન: ભાજપના રમેશ ટીલાળાની ‘અદા’ ગૃહમાં ચર્ચાનો વિષયભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા પ્રશ્ન પૂછવા ઊભા થયા ત્યારે તેમની અનોખી અદા ગૃહમાં ચર્ચાનો વિષય બની. તેઓ બે હાથ ખીસ્સામાં રાખીને શાંતિથી ઊભા રહ્યા અને મૌલિક અંદાજમાં પોતાનો પ્રશ્ન વાંચ્યો. તેમની આ સ્ટાઇલને લઈને ગૃહમાં હળવું સ્મિત ફેલાયું અને કેટલાક સભ્યો વચ્ચે મજાક પણ ચાલતી જોવા મળી. પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ ‘મંત્રી’ જેવી ભાષા બોલી ગયા: C.K. રાઉલજીની ભૂલથી ગૃહમાં હાસ્યભાજપના ધારાસભ્ય C.K. રાઉલજી પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ પ્રશ્ન પૂછવાની જગ્યાએ તેમણે મંત્રી જેવો જવાબ આપવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ હસતા હસતા કહ્યું કે “હું પહેલા મંત્રી રહી ચૂક્યો છું એટલે મંત્રી જેવી ભાષા આવી ગઈ.” તેમની આ ટિપ્પણી બાદ ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું. પોતાના જ મંત્રીને ભાજપના ધારાસભ્યનો સવાલ: ‘મંત્રી પાસે કોઈ જવાબ નહતો તો અટવાયા'ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે દવાઓના લેબલમાં વધુ ભાવ લખીને વેચાણ થતું હોવાની ફરિયાદ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ સંબંધિત મંત્રી રમણભાઈ સોલંકી પાસે તે સમયે સ્પષ્ટ જવાબ ઉપલબ્ધ નહતો. તેમણે જવાબ અધ્યક્ષ મારફત મોકલી આપવાની વાત કરી. આ સાંભળીને યોગેશ પટેલ હળવી સ્મિત સાથે ઈશારો કરતા જોવા મળ્યા કે “જવાબ જ નથી.” સત્તાપક્ષના ધારાસભ્ય દ્વારા જ મંત્રીને ઘેરવામાં આવતા ગૃહમાં થોડો સમય ચર્ચા ચાલી. બજેટ ચર્ચા દરમિયાન ખાલી ખુરશીઓ,ગૃહમાં નીરસ માહોલવિધાનસભામાં બજેટ માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન હાજરી નબળી જોવા મળી. કોંગ્રેસ તરફથી માત્ર એક ધારાસભ્ય હાજર હતા, જ્યારે સત્તારૂઢ ભાજપના સભ્યોમાં પણ પાંખી હાજરી જોવા મળી. મહત્વપૂર્ણ બજેટ ચર્ચા વચ્ચે ખાલી ખુરશીઓ ગૃહમાં નીરસ વાતાવરણ સર્જતી જોવા મળી. શિક્ષણ સેવા વર્ગ-1 અને 2માં 913 જગ્યાઓ ખાલી: સરકારે સ્વીકાર્યુંરાજ્યમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2માં કુલ 913 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિ મુજબ વર્ગ-1માં 54 અને વર્ગ-2માં 859 જગ્યાઓ ખાલી છે. નિવૃત્તિ, રાજીનામા અને અન્ય કારણોસર આ જગ્યાઓ ખાલી પડી હોવાનું જણાવાયું છે. સરકારે જણાવ્યું કે ભરતી અને બદલીની પ્રક્રિયા દ્વારા આ જગ્યાઓ તબક્કાવાર ભરવામાં આવશે. જામનગર-દેવભૂમિ દ્વારકામાં 1565 શિક્ષકોની ઘટજામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ સામે આવી છે. 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ જામનગર જિલ્લામાં 610 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 955 શિક્ષકોની ઘટ હોવાનું સરકારે સ્વીકાર્યું છે. નિવૃત્તિ, બદલી, સ્વૈચ્છિક નિવૃત્તિ અને અવસાન જેવા કારણોસર આ ખાલી જગ્યાઓ ઊભી થઈ હોવાનું જણાવાયું છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસહાયકોની મદદથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરૂચ-નર્મદા જિલ્લામાં 1053 ઔદ્યોગિક એકમો પાસેથી ₹4035 કરોડથી વધુ GST બાકીભરૂચ અને નર્મદા જિલ્લામાં કુલ 1053 ઔદ્યોગિક એકમો પાસેથી લગભગ ₹4035 કરોડથી વધુ GST વસૂલવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ અનેક ઉદ્યોગો દ્વારા સમયસર કરચુકવણી ન થતાં બાકી રકમનો ઢગલો વધ્યો છે. આ રકમ વસૂલવા માટે કર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. પેટ્રોલ-ડીઝલ સહિત ઇંધણ પર રાજ્યની કમાણી ₹41,593 કરોડરાજ્ય વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ પેટ્રોલ, ડીઝલ, PNG અને CNG પર વસુલાતા વેટ અને સેસથી રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષમાં કુલ ₹41,593 કરોડની આવક થઈ છે. હાલ પેટ્રોલ પર 13.7% અને ડીઝલ પર 14.9% વેટ વસુલવામાં આવે છે, જ્યારે PNG અને CNG પર પણ લગભગ 15% સુધીના વેટના દર લાગુ છે. સરકારે જણાવ્યું કે રાજ્યની આવકમાં આ કર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. રાજ્યમાં 8586 પ્રાથમિક અને 856 માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની ઘટરાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની નોંધપાત્ર ઘટ સામે આવી છે. જિલ્લાવાર આંકડા મુજબ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા જિલ્લાઓમાં પણ વર્ગખંડોની અછત સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભીડભાડમાં અભ્યાસ કરવો પડે છે. કેટલાક સ્થળોએ એક જ ઓરડામાં બે-ત્રણ વર્ગોને ભણાવવાની સ્થિતિ સર્જાઈ છે. ઓરડાઓના અભાવે શિક્ષણની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતો માને છે કે તાત્કાલિક નવા વર્ગખંડોની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. ખનીજ નીતિમાં પારદર્શિતા અને ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’થી નાના ખેડૂતોને રાહતરાજ્ય સરકારે ખનિજ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા ઈ-હરાજી પદ્ધતિ સાથે ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’ની નવી વ્યવસ્થા અમલમાં મૂકી નાના ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત આપી છે. ૪ હેક્ટર સુધી સીધી અરજીથી ક્વોરી લીઝ મળતી થતાં ૭૩૮ અરજીઓને મંજૂરી અપાઈ છે, જ્યારે ખનિજ ચોરી સામે કડક કાર્યવાહીથી વસૂલાત ૧.૭૧ કરોડથી વધીને ૨૫૨ કરોડ સુધી પહોંચી છે. સાથે જ નવા ખનિજ સંશોધન, કોર લાઇબ્રેરી અને REE પ્રોજેક્ટ્સથી રાજ્યના ખનિજ ક્ષેત્રને આધુનિક દિશા મળી રહી છે. મહિલાઓ માટે ‘પિંક ટોઇલેટ’ યોજના: શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને સુરક્ષાનો નવો ધોરણનિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્ય સરકારે મહિલાઓ માટે આધુનિક ‘પિંક ટોઇલેટ’ બનાવવા ₹59.14 કરોડની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બનનારા આ ટોઇલેટમાં ચેન્જિંગ રૂમ, બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગ સુવિધા જેવી વ્યવસ્થા હશે. આ પહેલ સ્વચ્છતા સાથે મહિલાઓની સુરક્ષા અને સન્માનને પ્રાથમિકતા આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. જિલ્લા આયોજનમાં ₹500 કરોડનો વધારો, 10 વર્ષમાં 2 લાખ સરકારી ભરતીનો રોડમેપ તૈયારરાજ્ય સરકારે જિલ્લા આયોજન માટે ₹500 કરોડનો વધારો કરી કુલ ₹2102 કરોડ ફાળવ્યા છે, સાથે જ 2024-2033 માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરીને 2 લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ 6.5 લાખ કર્મચારીઓને ₹10 લાખ સુધીની સારવાર અને SPIPA મારફતે UPSCમાં સફળતા પણ રાજ્યના સુશાસનના પ્રયાસોને દર્શાવે છે. પેકિંગ પરની કિંમતથી વધુ વસૂલતા વેપારીઓ સામે કડક કાર્યવાહી, 58 વેપારીઓ પકડાયાગ્રાહક હિત માટે રાજ્ય સરકારે કડક વલણ અપનાવી પેકિંગવાળી વસ્તુઓ પર છાપેલી કિંમત કરતાં વધુ વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા એક વર્ષમાં વડોદરા, પંચમહાલ અને કચ્છમાં કુલ 58 વેપારીઓ સામે કેસ નોંધાઈ ₹74 હજારથી વધુ દંડ વસૂલાયો છે, જ્યારે પુનરાવર્તન થાય તો સીધી કોર્ટ કાર્યવાહીનો પણ પ્રાવધાન રાખવામાં આવ્યો છે. ‘વોકલ ફોર લોકલ’ને વેગ: કુટીર અને ગ્રામોદ્યોગ માટે ₹979 કરોડનું બજેટરાજ્ય સરકારે સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે ₹979 કરોડનું બજેટ ફાળવી ‘વોકલ ફોર લોકલ’ને મજબૂતી આપી છે. ODOP, ઈ-કોમર્સ સહાય, NIFT-NID સાથે તાલીમ અને સ્વદેશી મોલ જેવી પહેલો દ્વારા કારીગરોને રોજગાર અને બજાર બંને ઉપલબ્ધ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મેગા પ્લાન: 3100 નવી ભરતી અને હાઈસ્પીડ કોરિડોરનો વિકાસરાજ્યમાં રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવા 3100 નવી જગ્યાઓ ભરવાની જાહેરાત સાથે હાઈસ્પીડ કોરિડોર, કોસ્ટલ હાઈવે અને એક્સપ્રેસ-વે જેવા મેગા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. OPRC પદ્ધતિથી રસ્તાની ગુણવત્તા સુધારવા અને મુસાફરી સમય ઘટાડવા સરકારનો ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર કેન્દ્રિત રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે ₹2017 કરોડનો વધારો: મેડિસિટી અને IVF સેન્ટરથી આરોગ્યસેવામાં ક્રાંતિરાજ્યના આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો કરી ₹25,403 કરોડ ફાળવાયા છે, જેમાં મેડિસિટી, IVF સેન્ટર, નવી એમ્બ્યુલન્સ અને ‘નમોશ્રી યોજના’ જેવી પહેલો સામેલ છે. PMJAY હેઠળ 2.73 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે માતા-બાળ આરોગ્ય અને ગ્રામ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો ફોકસ રહ્યો છે. ગુજરાતના બંદરોનો દબદબો: દેશના 40% દરિયાઈ વેપારનો ભાર સંભાળે છે રાજ્યગુજરાતે બંદર વિકાસમાં આગવું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યાંથી દેશના 40% દરિયાઈ વેપારનું સંચાલન થાય છે. ₹322 કરોડના બજેટ સાથે શિપબિલ્ડિંગ, LNG હેન્ડલિંગ અને અલંગ યાર્ડ જેવા પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક મેરીટાઇમ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. દિવ્યાંગ લગ્ન સહાયમાં વધારો: હવે ₹75 હજાર સુધી સહાય, અરજી પ્રક્રિયા સરળદિવ્યાંગ નાગરિકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે લગ્ન સહાય ₹50 હજારથી વધારી ₹75 હજાર કરી છે. DBT મારફતે સીધી સહાય સાથે અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના કારણે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક સહાય મળી રહી છે.

25 C