ખાસ આયોજન:મહાશિવરાત્રિ નિમિત્તે ભાવનગરથી વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ચાર ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13મીથી 17મી સુધી સંચાલિત રહેશે. વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠરાવ કરશે. વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ તા.13થી 17 સુધી દોડશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:જેસર તાલુકાના સનાળા ગામ નજીક બાઇક અકસ્માતમાં બેના કરૂણ મોત
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બેના મોત થયા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જેસર તાલુકાના સનાળા અને રાજપરા ગામ વચ્ચે બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બે મોટર સાયકલ વચ્ચેની અકસ્માતમાં બે લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સનાળા અને રાજપરા ગામ વચ્ચેના માર્ગ પર બે બાઈક સવારો સામસામે ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક બંનેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બે મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોમાં એક વીરપુર ગામના અને જુનાપાદર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સામસામે અથડાયેલા બંને બાઈક સવારોના મોતથી વીરપુર અને જુનાપાદર ગામ સહિત જેસર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જૂથ અથડામણ થઈ:જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે શસસ્ત્ર અથડામણ
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે નવાગામથી કનીવાવ જવાના રસ્તે ગઈકાલે રાત્રીના જમીનના ઝગડામાં બે જૂથો વચ્ચે તલવાર, ધારિયા, ધોકા-પાઈપ સહિતના જીવલેણ હથિયારો સાથે ધીંગાણું થયું હતું. જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે 14 શખ્સો નાસી જતા પોલીસે 16 સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ શિહોર દાદાની વાવ પાસે નવાગામ કનીવાવ જવાના રસ્તે વરતેજ ખાતે રહેતા શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી તથા નવાગામ કનીવાવ ગામના નકુમ પરિવારના લખનસિંહ ભુપતસિંહ નકુમ વચ્ચે પ્લોટની જમીન અંગે સામ સામે બોલાચાલી થઇ હતી. આ મામલે કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવેલ. 112 સ્ટાફ પણ હાજર રહેલ દરમિયાન નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રેલ્વે ફાટક બાદ નવાગામ કનીવાવ જવાના રસ્તે અમુક લોકો પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સામ સામે મારા મારી કરતા હોવાની બાતમી મળતા પોલીસ 112 મોબાઇલ ગાડીમા બેસી ઘટના સ્થળે પહોંચી હતી. રેલ્વે ફાટક ક્રોસ કરી નવાગામ કનીવાવ ગામ તરફ જવાના રસ્તે પહોંચતા સ્થળ પર બે જુથના લોકો સામ સામે પોતાના હાથમાં તલવાર, ધારીયા, તથા લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે મારા મારી કરતા હોય અને મોટે મોટેથી બિભત્સ ગાળા ગાળી કરી ત્યા સ્થળ પડેલ ફોર વ્હીલ ગાડીઓના કાચ તોડી નુકસાન કરી રહ્યા હતા. પોલીસની ગાડીના સાયરન વગાડતા તમામ લોકો ભાગવા લાગેલા જે પૈકીના શૈલેષભાઈ દિપશંગભાઈ મોરી (રહે. વરતેજ) અને લખનસિંહ ભુપતસિંહ નકુમ (રહે. નવાગામ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પર ત્રણ ફોર વ્હીલ ગાડી પડેલ હોય જેમાં GJ-04-DN-9278 નંબરની સ્વીફટ ટુકડો ગાડી, GJ-05-JE-4239 નંબરની વેગન આર તેમજ UP-92-A K-9767 નંબરની સ્વીફટ ડિઝાયર ગાડીઓ પડેલ હોય. જેના કાચ તોડી આશરે એક લાખ રૂપિયાનું નુકસાન કરેલ હતુ. આ બનાવ અંગે તમામ સામે ગુજરાત પોલીસ એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ સિહોર પોલીસે તપાસ હાથ ધરી ફરાર શખ્સોને જડપવા ચક્રોગતિમાન કર્યા છે. તમામ આરોપી સામે સિહોર પોલીસ ફરિયાદી બનીભાવનગર શહેર જિલ્લામાં અસમાજીક તત્વો વિરૂદ્ધ ભાવનગર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કનીવાવ ગામ નજીક થયેલી જૂથ અથડામણ માં પણ સિહોર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી, તમામ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેને લઇને સિહોર પોલીસ ખુદ ફરિયાદી બની, આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સિદ્ધિ:રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં વિશ્રાંતિ પરમારને સિલ્વર મેડલ
રાજપીપળા ખાતે રમાઇ ગયેલી રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાવનગરની ખેલાડીઓએ સમગ્ર રાજ્યમાં દ્વિતિય ક્રમાંક હાંસલ કરી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અન્ય હરિફાઇમાં પણ તેઓને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર ખાતે યોજાયેલ આ જીમ્નાસ્ટીક સ્પર્ધામાંમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની પરમાર વિશ્રાંતિ કલ્પેશભાઈ એ ભાગ લીધો હતો. પરમાર વિશ્રાંતિએ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને રાજ્યકક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા માટે પસંદગી પામી હતી. વિશ્રાંતિએ ભાવનગર જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષા માટે પસંદગી પામી હતી. રાજપીપળા ખાતે રાજ્ય કક્ષાની જીમ્નાસ્ટીક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 52થી વધુ વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં તેઓએ જીમ્નાસ્ટીક અન ઇવન બાર સ્પર્ધામાંમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત માં દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાથોસાથ વોલ્ટીંગ ટેબલ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
બોર્ડની પરીક્ષા:ધો. 10-12માં ગેરરીતિની અધૂરી વિગત રાખનારા કર્મચારીને કસૂરવાન ગણાશે
તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12ની બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડ કે બહાર રેતીનો કેસ પકડનારા અધિકારી કર્મચારી કે સ્ક્વોડના સભ્યોએ પોતે જ કેસની તમામ વિગતો તૈયાર કરીને ફાઇલ કરવાની રહેશે. સ્થળ પર પૂરતી કાર્યવાહી નહીં થવાના કારણે જેમ કે વિદ્યાર્થીની વિગત, વિદ્યાર્થીનું નિવેદન, પકડાયેલું સાહિત્ય પર વિદ્યાર્થી અને કેસ કરનારની સહી, નામ સરનામા સાથે ગેરરીતિનો અભ્યાસ કરનારના સ્વયં સ્પષ્ટ રિમાર્ક, રોજકામ વિગેરે સિવાય વિગતો અપૂરતી હોય આખરી નિર્ણય લેવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે ગેરરીતિના કિસ્સામાં કાર્યવાહી નિયમ પ્રમાણે પૂર્ણ ન કરનાર સ્ક્વોડના સભ્ય કે અધિકારી પોતે કસૂરવાન ગણાશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિનો કેસ કરવાની ખંડ નિરીક્ષકની પ્રાથમિક ફરજ છે. ખંડ નિરીક્ષકે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા સેન્ટર ખાતે હાજર થવાનું રહેશે અને મોબાઈલ ફોન સ્થળ સંચાલકને સુપ્રત કરવાનો રહેશે. સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે પોલીસ ફરિયાદગુજરાત બોર્ડની તા.26મીથી લેવાનારી પરીક્ષાના પેપરની સુરક્ષા બાબતે જો કોઈ પણ પ્રિન્સિપાલ કે સિનિયર શિક્ષક બેદરકારી દાખવશે અથવા પરીક્ષામાં નિર્ધારિત સમય કરતાં વહેલા પેપરનું પેકેટ ખોલશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આટલું જ નહીં, શિક્ષાત્મક પગલાં રૂપે તેમનો એક વાર્ષિક ઇજાફો પણ અટકાવી દેવામાં આવશે. પ્રશ્નપત્ર બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશેશિક્ષણ બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રશ્નપત્રના પેકેટો સીસીટીવી કેમેરાની નજર હેઠળ અને બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં જ ખોલવા પડશે. જો કોઈ ખાનગી સ્કૂલનો શિક્ષક દોષિત જણાશે તો તેને રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ફટકારાશે.
ભરતી:ગુજરાત સરકારમાં ક્લાર્કની ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩માં ગ્રુપ-એમાં 2365 જગ્યાઓ ઉપર તથા ગ્રુપ-બીમાં 3005 ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે કમ્બાઇન્ડ કોમ્પીટીટીવ એકઝામિનેશન (CCE) લેવાનાર છે. આ માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડીગ્રી ધરાવતા 20થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અહી અનામત વર્ગ તેમજ મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર થશે. અહીં ઉમેદવારોની પ્રિલીમ અને મુખ્ય બે પરીક્ષાઓ લેવામાં આવશે. આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળીયા તળાવ, ભાવનગર ઉપર સંપર્ક કરવો. આ માટે ઓનલાઈન અરજીની છેલ્લી 20 ફેબ્રુઆરી છે.
ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તા.12‑13 ફેબ્રુઆરી, ગુરૂ અને શુક્રવાર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઑન કૅટાલિસિસ ફૉર ઇન્ડસ્ટ્રી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમીનું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય પરિષદમાં વિશ્વભરના અગ્રણી વૈજ્ઞાનિકો, ઉદ્યોગ નિષ્ણાતો અને શિક્ષણજગતના પ્રતિનિધિઓ એકત્ર થઈને ઉત્પ્રેરણ, સ્થાયી ટેકનોલોજી અને તેના ઔદ્યોગિક તથા પર્યાવરણીય ઉપયોગો પર ચર્ચા કરશે. કોન્ફરન્સના સંયોજક ડૉ. પી. એસ. સુબ્રમણિયનએ જણાવ્યું કે ઉદ્ઘાટન વ્યાખ્યાન પદ્મશ્રી પ્રો. જી. ડી. યાદવ (ICT મુંબઈ) આપશે. ત્યારબાદ પ્રો. અજયન વિનુ (યુનિવર્સિટી ઑફ ન્યૂકાસલ, ઑસ્ટ્રેલિયા) દ્વારા નૅનોપોરસ ફંક્શનલ મટિરિયલ્સ પર અને ડૉ. આર. વી. જસ્રા (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા ઝિયોલાઇટ્સ પર મુખ્ય વ્યાખ્યાન થશે. બે દિવસના સત્રોમાં પદ્મશ્રી પ્રો. શિવરામ સહિત IIT મદ્રાસ, IISc બેંગલોર, NISER ભુવનેશ્વર, ગ્રિફિત યુનિવર્સિટી અને અન્ય અગ્રણી સંસ્થાઓના વૈજ્ઞાનિકો ભાગ લેશે. ડૉ. અંકુશ બિરાદરે જણાવ્યું કે ચર્ચાના વિષયો બાયોમાસ વેલોરાઇઝેશન, CO₂ ઉપયોગ, સ્થાયી જેટ ઇંધણ અને હાઇડ્રોજન ઉત્પાદન માટે ઉત્પ્રેરક ડિઝાઇન જેવા ક્ષેત્રોને આવરી લેશે. આ દરમિયાન સંસ્થાના નિદેશક અને કોન્ફરન્સના સંરક્ષક ડૉ. કન્નન શ્રીનિવાસન વિશેષ વ્યાખ્યાન આપશે તેમ ડૉ. કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું. ઉત્પ્રેરણ પ્રક્રિયા એટલે શું ?Catalysis જેને ઉત્પ્રેરક ક્રિયા કહેવાય છે. ઉત્પ્રેરણ એટલે એવી પ્રક્રિયા જેમાં કોઈ પદાર્થ રાસાયણિક પ્રતિક્રિયાની ગતિ વધારશે અથવા ઘટાડશે, પરંતુ પોતે પ્રતિક્રિયા બાદ બદલાતો નથી. કોઈ પ્રતિક્રિયા ધીમી ચાલતી હોય, તો તેમાં થોડો ઉત્પ્રેરક ઉમેરો, એ પ્રતિક્રિયા ઝડપથી થઈ જાય! પણ ઉત્પ્રેરક પોતે ખપતો નથી, અંતે ફરી એમનો એમ રહે છે. જેમ કે હાઈડ્રોજન પેરોક્સાઇડ (H₂O₂) તૂટીને પાણી અને ઓક્સિજન બને છે, H₂O₂ → H₂O + O₂ (આ પ્રતિક્રિયા ધીમી છે) પણ જો તેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ (MnO₂) ઉમેરો તો પ્રતિક્રિયા બહુ ઝડપથી થાય છે એટલે કે આ ક્રિયામાં MnO₂ ઉત્પ્રેરક છે.
વેધર રિપોર્ટ:તાપમાન સામાન્યથી 2.3 ડિગ્રી વધુ રહ્યું
ભાવનગર શહેરમાં બપોર અને રાતના તાપમાન વચ્ચે હજી 12 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તફાવત રહેતા હોય તેમજ પવનની ઝડપ પણ ઓછી થઇ ગઇ હોય બેવડી ઋતુનો પ્રભાવ શહેરમાં યથાવત રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે સામાન્ય કરતા હોવું જોઇએ તેનાથી 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. આજે સવારે અને સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. જ્યારે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે સાંજના સમયે ઘટીને 42 ટકા થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં હાલ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.
જિલ્લાનો આકાશ સાથે સંપર્ક તૂટ્યો:ભાવનગરમાં 8 મહિનાથી હવાઇ કટોકટી
કોઇપણ શહેરના વિકાસ, ઉદ્યોગ-ધંધાના સુચારૂ વ્યવસ્થાપન માટે હવાઇ સેવાની કનેક્ટિવીટી હોવી આવશ્યક હોય છે, પરંતુ ભાવનગર 8 મહિનાથી હવાઇ સેવાથી સદંતર રીતે કપાઇ ગયુ હોવા છતા શેડ્યુઅલ ફ્લાઇટ પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે સ્પષ્ટ ઉણપ સપાટી ઉપર આવી રહી છે. ભાવનગર-મુંબઇ-પુના-ભાવનગર વચ્ચેની હવાઇ સેવાના વાવટા સ્પાઇસજેટ એરવેઝ દ્વારા ગત જુન મહિનામાં સંકેલી લેવામાં આવ્યા હતા. 8 મહિનાથી ભાવનગર હવાઇ સેવાના નક્શામાંથી નાબૂદ થઇ ગયુ હોવા છતા ભાવનગર હવે ક્યારે હવાઇ સેવાથી પુન: કનેક્ટ થશે તેના અંગે કોઇ ગળું ખોંખારીને કહી શક્તુ નથી. ભાવનગરની હરિફાઇ કરી રહેલા અન્ય જીલ્લાના વડા મથકેથી હવાઇ સેવામાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે ભાવનગર પાસે તો જે હતુ તે પણ છીનવાઇ ગયુ છે. ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ શહેરની હવાઇ સેવા પુન: કાર્યાન્વિત થઇ શકે તેના માટે 8 મહિનાથી નક્કર પરિણામ લાવવામાં સફળ રહ્યા નથી તે વાસ્તવિક્તા છે. ફક્ત મુંબઇ માટેની જ નહીં, ભાવનગરથી દિલ્હી, પુના, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલોર, જયપુર, અયોધ્યા જેવા હવાઇ રૂટ પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. પરંતુ તે દિશામાં પ્રમાણિક પ્રયાસોનો અભાવ સપાટી પર આવી રહ્યો છે. હવાઇ સેવા માટે ઉદ્યોગ ગૃહે આગેવાની લીધીભાવનગરને હવાઇ સેવાથી વંચિત રાખવામાં આવી રહ્યું હોવાથી, કેરીસિલ લિમિટેડ કંપની 8મી માર્ચે મેરેથોન દોડનું આયોજન શહેરમાં કરી રહ્યું છે અને તેને રન ટુ ફ્લાય અભિયાન સાથે સાંકળી અને ભાવનગરની હવાઇ સેવા પુન: શરૂ થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે કામ પ્રજાના પ્રતિનિધિઓએ કરવા જોઇએ તે કામ ઉદ્યોગ ગૃહ કરી રહ્યું છે.
વિરોધનો વંટોળ:સરકારની નીતિના વિરોધમાં આજે શ્રમિકોની હડતાલ
આવતી કાલ તા.12 ફેબ્રુઆરીને ગુરૂવારે સમગ્ર ભારતના શ્રમિક વર્ગે એક દિવસીય મહા હડતાલનું આહવાન કર્યું છે જેમાં દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે આ હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી છે. તેઓ સરકારના 'કોર્પોરેટ' તરફી નિર્ણયો અને ખાનગીકરણનો સખત વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામીણ ભારતની જીવાદોરી સમાન 'મનરેગા' યોજનાને ફરીથી મજબૂત કરવાની અને બજેટ વધારવાની માંગ પણ છે. આ હડતાલમાં એલઆઇસી ઇન્ડિયા, ભાવનગર ડિવિઝન, ચાર જિલ્લા ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદની 11 શાખાના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ હડતાલમાં જોડાશે. 12 ફેબ્રુઆરીને ગુરૂવારે સવારે 10 કલાકે એલઆઇસી, નિલમબાગ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવશે. આવતી કાલ તા.12 ફેબ્રુઆરીની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાવનગર સહિત ગુજરાતની તમામ લેબર કોર્ટો અને ટ્રીબ્યુનલ જડબેસલાક બંધ રહેશે. જ્યારે આંગણવાડી અને આથા વર્કરો હજારોની સંખ્યામાં રજા રિપોર્ટ ભરીને સમર્થન આપશે તથા રેલીઓમાં ભાગ લેશે. ભાવનગરમાં તા. 12 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે વિશાલ રેલી મોતીબાગથી નીકળશે તથા ઘોઘાગેટ ભગતસિંહ ચોક પાસે માનવસાંકળ યોજી સુક્રોચાર કરશે તેમ સી આઈ ટી યુ મહેતા તથા જિલ્લા મંત્રી અશોકભાઈ સોમપુરાએ જણાવ્યું છે. તા.12 તારીખે યોજાનાર હડતાલમાં લાખો કામદારો બેંક કર્મચારીઓ વીમા ક્ષેત્રના કર્મચારીઓ ઇલેક્ટ્રિક ક્ષેત્રના કર્મચારીઓ મેડિકલ રેપ્રેઝન્ટેટિવ ઇન્કમટેક્સ સહિતના કામદાર કર્મચારીઓ જોડાશે. કર્મચારીઓની મુખ્ય માગણીઓઆ રેલીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ચાર લેબર કોડ રદ કરો, તમામને 26,000 લઘુતમ વેતન આપો, ઓછામાં ઓછું 10,000 પેન્શન આપો, આંગણવાડી આશા સહિતના તમામ સ્કીમ વર્કરોને કાયમી કરી લઘુતમ વેતન આપો, મનરેગાનો કાયદો ફરી અમલમાં લાવો, વીજળી સુધારા બિલ 2025 પાછું ખેંચો, સહિતની માગણીઓ કરાશે. LICમાં 29 વર્ષમાં કર્મચારીની સંખ્યામાં 50 ટકાની ઘટએલઆઇસીમાં વર્ષ 1995ની તુલનામાં 2024 સુધીમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 50 ટકા ઘટી થઇ ગઇ છે. પ્રતિ કર્મચારી 631 પોલીસી હતી તેમાંથી હવે વધીને 3552 પોલીસીનું ભારણ થઇ ગયું છે. અનેક રજૂઆત છતાં કોઇ ભરતી કરવામાં આવી નથી. જેથી પ્રમોશન, બદલી, કેશિયર જેવા અનેક પ્રશ્નો વિકટ થયા છે તેમ એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિ.ના સેક્રેટરી કમલેશ ભટ્ટે જણાવ્યું છે. કેન્દ્ર સરકાર વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની છૂટ આપવા જઇ રહી છે. સાથે સરકાર એલઇઆસીમાં પોતાના હિસ્સાનું હજુ વધુ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇરાદો ધરાવે છે.
આશા ઉજળી બની:સૌરાષ્ટ્ર કક્ષાની મેચ સાથે ભાવનગરના ક્રિકેટ નક્શામાં નવી સવલતનો આજથી પુન: પ્રારંભ
સૌરાષ્ટ્રના ક્રિકેટમાં ભાવનગરના ખેલાડીઓનો દરેક વયજૂથમાં દબદબો રહે છે, પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડની ઉણપ સ્પષ્ટ રીતે વર્તાઇ રહી હતી. હવે ભાવનગરમાં ક્રિકેટ નક્શામાં વધુ એક સવલતનો ગુરૂવારથી સત્તાવાર રીતે આરંભ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની રણજી ટ્રોફીની ટીમની પસંદગી માટેની મુખ્ય ગણાતી જયહિંદ ટ્રોફી ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની ભાવનગર રૂરલ ક્રિકેટ એસોસિએશન અને બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમો વચ્ચે પ્લેટ ગ્રુપ-એની ત્રિ-દિવસીય લીગ મેચ ગુરૂવારથી ભાવનગરના રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. મેચની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યુ છે. રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટની અત્યાધુનિક સગવડતાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અને બાળકોને ક્રિકેટની નિયમીત તાલીમ માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભાવનગરમાં સર ભાવસિંહજી ક્રિકેટ કલબનું એકમાત્ર ક્રિકેટ મેદાન ઉપલબ્ધ હજુસુધી હતુ જ્યાં સૌરાષ્ટ્ર સ્તરની ક્રિકેટ મેચોના આયોજનો થઇ શકે છે, યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પૂર્ણ કદનું છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ મેદાન જર્જરીત અવસ્થામાં ગરકાવ થયેલું છે. હવે રેલવે ખાતે નવી એક ક્રિકેટ સવલત શરૂ થઇ છે. વર્ષ 1994 બાદ ભાવનગરમાં એકપણ રણજી ટ્રોફી મેચોના આયોજન થઇ શક્યા નથી તેની પાછળ પણ પૂર્ણ કદનું અને બીસીસીઆઇના નિયમો મુજબનું ક્રિકેટ મેદાન ઉપલબ્ધ નહીં હોવાનું મુખ્ય કારણ છે. વધુ સવલતથી ક્રિકેટરોને ફાયદો થશેભાવનગરમાં ક્રિકેટની વધુ સવલતો ઉપલબ્ધ થશે તેના કારણે જીલ્લાના ક્રિકેટને ફાયદો થશે. ક્રિકેટ ક્ષેત્રે ખેલાડીઓ પ્રેક્ટિસ ઉપરાંત સતત મેચો રમતા રહે તો તેઓની કારકિર્દી પર સકારાત્મક અસર પડે છે. હવે રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવી સવલત ઉપલબ્ધ થતા વધુ મેચોના આયોજનો શક્ય બની શક્શે. - સંદીપ મણીયાર, પસંદગી સમિતીના ચેરમેન ચેરમેન, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમ
દંપતિએ જીવાદોરી કાપી:સોનગઢમાં ઘર કંકાસમાં દંપતિએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું
ભાવનગર જિલ્લાના સોનગઢના પ્લોટ વિસ્તારમાં રહેતા એક દંપતિએ એકી સાથે ઘરકંકાસમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. સોનગઢના પ્લોટ વિસ્તારમાં દંપતિના આપઘાત મામલે સોનગઢ પોલીસે ઘટના સ્થળે ધસી આવી, દંપતિની લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડી રજા ઉપર ઘરે આવેલા આર્મીમેન પુત્રની પુછપરછ શરૂ કરવામાં આવી છે. સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતું એક દંપતિનો પુત્ર ઘરે રજા ઉપર આવ્યો હતો અને હસતો ખીલતા પરિવારમાં પતિ-પત્નિ અને પુત્ર ત્રણેય એક સાથે ઘરમાં રહેતા હતા. જે દરમિયાન આજે એકાએક બપોરના સુમારે ગુણવંતભાઇ મોહનભાઇ ડાભી (ઉ.વ.55) અને ગીતાબેન ગુણવંતભાઇ ડાભી (ઉ.વ.53)ના દંપતિએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા ભારે અરેરાટી છવાઇ ગઇ હતી. જે બાદ સોનગઢ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે ધસી જઇ, પરિવારના ઘરની આસપાસ રહેતા પડોશીઓની પૂછપરછ કરી હતી. જે મામલે પોલીસને પ્રાથમિક તપાસમાં ઘર કંકાસને લઇને દંપતિએ એકી સાથે જીવન ટૂંકાવી લીધાનું ખુલવા પામ્યું હતું. આ મામલે દંપતિનો પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે અને થોડાક દિવસો અગાઉ જ તેઓ રજા ઉપરથી ઘરે પરત આવ્યા હતા. અને દંપતિએ પુત્રને ઘરની બહાર ન જવાનું જણાવાયું હતું અને પુત્ર સાથે ઝઘડો થતા દંપતિએ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે આર્મીમેન પુત્ર કિશોરભાઇની પણ પુછપરછ શરૂ કરી છે. જો કે, આ મામલે પોલીસની તપાસમાં દંપતિના આપઘાત મામલે કોઇપણની સંડોવણી ખુલશે તો સોનગઢ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
કરંટથી યુવકનું મોત થયું:ક્રિભકોમાં યુવકનું કરંટ લાગ્યા બાદ મોત નીપજ્યું
હજીરા સ્થિત ક્રિભકો કંપનીમાં 30 ફૂટ ઊંચા ટાવર પર કામ કરતી વખતે કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા યુવાન ઇલેક્ટ્રિશયનનું મોત નીપજ્યું હતું. ઓલપાડના મીંઢી ગામના રહેવાસી 24 વર્ષીય અક્ષય દિપક પટેલ હજીરા ખાતે આવેલી ક્રિભકો કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ઇલેક્ટ્રિશયન તરીકે કામ કરતા હતા. બુધવારે તેઓ ક્રિભકો કંપનીમાં યુરિયા પ્લાન્ટમાં 30 ફૂટ ઊંચા ટાવર પર લાઇન બદલવાની કામગીરી કરતા હતા. દરમ્યાન કરંટ લાગતા તેઓ 30 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા હતા. આ ઘટનાની જાણ કંપનીમાં અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ફેશન શોનું આયોજન કરાયું:ફેશન શો ઓડિશનમાં 5થી 50 વર્ષના પાર્ટિસિપન્સે ભાગ લીધો
પીપલોદ સ્થિત ઇસ્કોન મોલમાં IFA વર્લ્ડ દ્વારા ‘ફેશન અવોર્ડ વર્લ્ડ સીઝન-4’ના ઓડિશનનું આયોજન કરાયું હતું. જેમાં 5 વર્ષના બાળકોથી લઈને 50 વર્ષથી વધુ વયના પાર્ટિસિપન્ટ્સે પણ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાના સ્ટાઇલ, ડ્રેસ અને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરી દર્શકો અને જજિસનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત ઘણા પાર્ટિસિપન્ટ્સે રેમ્પવોક સાથે પોતાનું ટેલેન્ટ પણ શો-કેઝ કર્યું હતું.
ફ્લાવર શો:21 પ્રકારના 70 હજાર ફૂલોથી મહેંકી ઉઠ્યો ફ્લાવર શો
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા હજીરા સ્થિત એએમએનએસ ટાઉનશીપમાં પ્રકૃતિપ્રેમીઓ માટે રંગો અને સુગંધનો અદભુત મહોત્સવનું આયોજન કરાયું છે. 18મી ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શોએ સમગ્ર વિસ્તારને વસંતોત્સવની છટાથી મહેકાવી દીધો છે. ટાઉનશીપના તાડ ઝુલા ખાતે અંદાજીત 2 એકર વિસ્તારમાં ફેલાયેલ આ પ્રદર્શને 21 પ્રકારના 70 હજારથી વધુ રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે. મેરીગોલ્ડ, પિટુનિયા, ડાયનાથસ, ગઝાનિયા, ગેરેનિયમ, કેલેન્ડુલા, સાલ્વિયા, સેલોસિયા, જીનિયા, સ્ટોક, અંતિર્રહિનમ, ક્રિસેન્થેમમ, દાહલીયા, વીન્કા, ફ્લોક્સ, એસ્ટર, સિલ્વર ડસ્ટ, એલીસમ સહિતના ફૂલોની અદભુત સજાવટ મુલાકાતીઓ માટે દ્રષ્ટિ અને મન બંનેને મોહી લે તેવી બની છે. રંગોની અનોખી સમરસતા અને ડિઝાઇનિંગથી તૈયાર કરાયેલા આ ગાર્ડન સેલ્ફી અને ફોટોગ્રાફી માટે આકર્ષણ બન્યું છે. રાત્રે આકર્ષક લાઇટિંગથી તે “ગ્લો ગાર્ડન” બની જાય છે. ટાઉનશીપ ઉપરાંત આસપાસના વિસ્તારોના નાગરિકો માટે ફ્લાવર શો વિનામૂલ્યે ખુલ્લો મુકાયો છે. આ ભવ્ય આયોજન માટે ઓક્ટોબર મહિનાથી જ તૈયારીઓ શરૂ કરાઇ હતી. 60થી વધુ ગાર્ડનર, કાર્પેન્ટર, પેઈન્ટર અને સુપરવાઈઝર્સે સતત મહેનતથી છોડ રોપ્યા, જાળવણી કરી અને સુંદર લેઆઉટ તૈયાર કર્યા છે. માર્ચ સુધી ફૂલોની આ રંગીન છટા યથાવત રહેશે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 50 વર્ષ જૂની ટેનામેન્ટ યોજના આજે વિવાદનું કેન્દ્ર બની છે. આ યોજના હેઠળ અપાયેલા મકાનોમાં જમીનની કિંમત હાલ કરોડોમાં છે. અહીં અનેક પરિવાર 40-50 વર્ષથી મકાનોમાં વસવાટ કરે છે, પરંતુ સમયની થપાટો વચ્ચે મકાનો હવે અતિ જર્જરિત અને ખખડધજ હાલતમાં આવી ગયા છે. રહેવાસીઓ જ્યારે પોતાના સ્વખર્ચે મકાનનું રિનોવેશન કે નવું બાંધકામ કરવા માટે મનપાની ટી.પી. શાખામાં પ્લાન પાસ કરાવવા જાય છે ત્યારે હાઉસિંગ બોર્ડની શરત સામે આવે છે. બોર્ડ દ્વારા એવી શરત મૂકવામાં આવે છે કે, જ્યાં સુધી જમીન ફ્રીહોલ્ડ કરવામાં ન આવે, ત્યાં સુધી નવા પ્લાન મંજૂર કરવામાં આવશે નહીં. આ ફ્રીહોલ્ડ પ્રક્રિયા માટે વર્તમાન જંત્રી દર મુજબ મકાન દીઠ રૂપિયા 1 કરોડ જેવી જંગી રકમ ભરવી પડે તેમ હોવાથી અનેક લોકો મોતની છાયા સમાન આ મકાનમાં રહેવા મજબૂર છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યોઆ અંગે છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆતો કરી ચૂકેલા સ્થાનિક અશોકભાઈ કામદારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ટેનામેન્ટ ધારકોનો મુખ્ય પ્રશ્ન છે કે, સરકારની વર્ષ 2019ની જે પોલિસી છે, તેમાં જમીનને ફ્રીહોલ્ડ કરવાની 5 શરતો રાખવામાં આવી છે. જોકે તેમાં મકાનમાં રિનોવેશન કરવા માટે જમીન ફ્રીહોલ્ડ કરવી તેવી કોઈ વાત જ નથી પરંતુ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરે ફતવો બહાર પાડ્યો છે. જેને લઈ અમારા મકાનોના રિનોવેશન કરવા માટેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. અમે CMથી લઈને PMO સુધી રજૂઆત કરી છેઅમે RTI કરી જેમાં સુરત, અમદાવાદ, તેમજ બરોડામાં આવી કોઈ જોગવાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને શહેરી વિકાસનાં અધિકારીઓ ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. એટલું જ નહીં રાજકોટનાં ત્રણેય ધારાસભ્યોને સાથે રાખીને અમે મુખ્યમંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવા છતાં સમસ્યા દૂર કરવામાં આવતી નથી. જેને લઈને PMOમાં પણ અમે રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આપની ડબલ એન્જીન સરકાર મધ્યમ વર્ગના લોકોને હેરાન કરી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ અમે કરી છે. 50-60 વર્ષ જૂના મકાનમાં જીવનું જોખમ છતાં રિનોવેશન કરવા દેતા નથીગુજરાત હાઉસિંગ બોર્ડે જે જમીન માત્ર 50 પૈસામાં ખરીદી હતી, તેના હાલ વર્તમાન જંત્રી પ્રમાણે 35,000 માંગવામાં આવી રહ્યા છે. જેને કારણે પ્રતિ મકાન કુલ રૂપિયા 1 કરોડ ભરવા પડે તેમ છે. જે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. અમારા મકાનો 50-60 વર્ષ જુના થયા છે તેમાં રહેવામાં જીવનું જોખમ છે છતાં અમને રિનોવેશન કરવા દેવામાં આવતું નથી. અમારી પાસેથી અગાઉ જ જમીનનાં અને ક્વાર્ટરનાં રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે. આ અન્યાય અને દાદાગીરી છે. શહેરી વિકાસ અને હાઉસિંગ બોર્ડનાં અધિકારીઓ મળેલા અને ભળેલા છે. જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યોઅગાઉ અનેક લોકોએ મકાનોમાં ફેરફાર કરાવી નાખ્યો છે. તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી અમારી સામે જ થાય છે. મનપાની ટી.પી. શાખા અમારા પ્લાન મંજૂર કરતી નહીં હોવાથી અમારે નાછુટકે જીવના જોખમે ખખડધજ મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે. અમે પ્લાન પાસ કરવા માટે નિયમોમાં છૂટાછાટની માગણી કરી છે પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કે ઈજનેરો કોઈ પ્રત્યુતર આપતા નથી. આ મકાનો બન્યા ત્યારથી અમે રહીએ છીએ અમારા ટેનામેન્ટોની હાલત બગડી ગઈ છે અને રિપેરીંગ માટે મંજૂરી માંગવામાં આવે ત્યારે સરકાર દ્વારા ફ્રી હોલ્ડ માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો આરોપકેટલાક લોકોને તેમના મકાનમાં રહેવું અશક્ય હોવાથી મંજૂરી વગર પણ રીનોવેશન કરવું પડી રહ્યું છે. આવા મકાનધારકો પાસેથી અધિકારીઓ લાખો રૂપિયા લઈ રહ્યા હોવાનો મારો ખુલ્લો આરોપ છે. તેમજ અમારી માંગ છે કે, તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી અમે ફ્રીહોલ્ડ કરાવ્યા વિના મકાનો રીનોવેટ કરાવી શકીએ. અને મોતના ભયમાં જીવવું પડે નહીં. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને PMOમાં કરેલી રજૂઆતનું 17 ફેબ્રુઆરીનાં રોજ હિયરિંગ થવાનું છે. જેમાં આ મામલે અમારા હિતમાં નિર્ણય આવશે એવી અમને આશા છે. વધારાની ફી હટાવી અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવેહિમાક્ષીબેન ગગલાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું અહી 50 વર્ષથી રહુ છું. હાલમાં અમારા મકાનો જર્જરિત થઈ ચૂક્યા છે, તેમાં ઉધઈનો પણ પ્રોબ્લેમ છે. જેને લઈને રિનોવેશન કરવું અત્યંત જરૂરી છે. અહીં ઉપર અને નીચેની માલિકી અલગ-અલગ હોવાથી બે ભાગ પાડવાની મંજૂરી પણ અમે માંગીએ છીએ. આ માટે વધારાની જે ફી લગાવવામાં આવી છે તે જરાપણ યોગ્ય નથી. આ કારણે હાઉસિંગ બોર્ડમાં મકાનોના કોઈ સોદા પણ થતા નથી. ત્યારે વધારાની ફી હટાવી લઈને અમને રીનોવેશન માટેની મંજૂરી આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છેદિવ્યેશભાઈ પારેખ નામના સ્થાનિકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી રહું છું. પણ આ મકાનો 50 વર્ષ જુના અને ખૂબ જર્જરિત હાલતમાં છે. અંદર ઉધઈ એટલી છે કે મકાનો ગમે ત્યારે પડી જાય તેવી પણ શક્યતા છે. જો રીનોવેશન નહીં કરવામાં આવે તો કોઈ દુર્ઘટના થાય તેવી પણ પૂરતી શક્યતા છે. અમે ગત તા. 29 નવેમ્બરનાં રીનોવેશનની મંજૂરી આપવા અરજી કરી હતી. જેનો એક મહિના પછી જવાબ આવ્યો છે. તેમાં પણ માત્ર અરજી આગળ વધારી છે તેવો જવાબ હતો. અત્યારે મકાનોની હાલત અતિ જર્જરિત હોવાથી અહીં તાત્કાલિક રીનોવેશનની મંજૂરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ માટે જરૂરી જંત્રી મુજબની રકમ ભરવા પણ અમે તૈયાર છીએ. રાજકોટ માટે નહીં આખા રાજય માટે આ પોલિસી છે : હાઉસિંગ બોર્ડરાજકોટ જ નહિ પણ આખા રાજ્ય માટે એકસરખા નિયમને પરિપત્ર હોવાનું હાઉસિંગ બોર્ડનાં અધિકારીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, બધા જ મકાનો ટેનામેન્ટ સ્વરૂપના છે તેના માટે ફ્રીહોલ્ડ જમીન કરાવવી જરૂરી છે. અત્યારે અમે જંત્રી પ્રમાણે પૈસા લઈએ છીએ. ખરેખર તો જમીનોની કિંમત ખુબ વધી ગઈ છે છતાં જંત્રીદરે જ પૈસા વસૂલાય છે. રાજકોટ, અમદાવાદ,સુરત સહિત તમામ સ્થળે હાઉસિંગ બોર્ડ બનાવેલા ટેનામેન્ટ છે ત્યાં મકાનોના પ્લાન પાસ કરાવતા પહેલા જમીન ફ્રી હોલ્ડ કરાવવાની પોલિસી લાગૂ છે. આ રીતે પૈસા ભરપાઈ કરનારને ફ્રીહોલ્ડ કરી આપવામાં આવે છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવી પોલિસી જાહેર કરશે : MLA દર્શિતા શાહધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા રિનોવેશન કરવાની મંજૂરી માટે રજુઆત કરવામાં આવી હતી. જેમનું પોતાનું મકાન છે અને રિનોવેશન કરવું હોય તેને ફ્રીહોલ્ડ કરવામાં આવે તેવી રજુઆત હતી. તેમનો આ પ્રશ્ન લઈ અમે બધાને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસનાં અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર રાજકોટ નહીં પરંતુ અમદાવાદ, બરોડા, સુરત સહિત ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રશ્ન છે. સરકાર આ બાબતમાં લોકોની વાત સાથે સહમત છે, આ માટેની પોલિસી પણ તૈયાર કરાઈ રહી છે. જે ટૂંક સમયમાં જાહેર થતા હાઉસિંગ બોર્ડના મકાનધારકોનો પ્રશ્ન હલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી આવાસ યોજના પૈકી સૌથી જૂની અમીન માર્ગની આ ટેનામેન્ટ યોજનાની હાલત બદતર થવા લાગી છે. 50 વર્ષ જૂની આવાસ યોજનામાં જમીનની કિંમત કરોડોમાં છે પણ તેની ઉપરના મકાનોની ખખડધજ હાલત તેમાં રહેનારાઓ માટે જોખમ ઊભું કરનારી બની રહે છે. પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, અમુક હજારમાં ખરીદેલા આ પારિવારિક મકાન માટે કરોડો રૂપિયા ક્યાંથી ભરવા? અમારે કઈ મકાનો વેચવાના નથી. રહેવા માટે મકાન બનાવવાના છે અને આમ છતા તેના પ્લાન પાસ કરવામાં આવતા નથી. જોકે ધારાસભ્ય દર્શીતાબેન શાહે સમગ્ર મામલે સરકાર ગંભીરતાથી વિચારી રહી હોવાનું તેમજ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા નવી પોલિસી જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે ત્યારે આ નવી પોલિસી ક્યારે આવે છે તે જોવું રહ્યું.
સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા દૂધ મંડળીના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે જ યોજવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવા સીમાંકન મતદાનની પેટર્ન અંગે પક્ષકારોને સાંભળી તમે નિર્ણય લેવાના છો ત્યારે સુમુલ ડેરીની ચૂંટણી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ વિરુદ્ધ પટેલ પંકજ કુમાર અને અન્યોના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ જ યોજવામાં આવે એવી રજૂઆત છે. તાલુકા બેઠક મુજબ ઉમેદવારોને ચૂંટવાની પેટર્ન સામે વાંધા અરજી રજૂ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઝોન દીઠ 1-1 વોટ અને પ્રાથમિક દૂધ મંડળીના દરેક સભાસદ 16-16 મત આપી શકે છે. જો નવા સીમાંકનમાં બેઠકો વધે તો એ મુજબ દરેક પસંદગીના ઉમેદવારોને સભાસદો મત આપી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર સુમુલ ડેરી નહીં, પરંતુ રાજ્યની તમામ ડેરી સંઘને લાગુ પડે છે. પણ અત્યાર સુધી કોઈ સભાસદે એનો અમલ કરતી માંગ કરી ન હોવાથી તાલુકા દીઠ એક બેઠક માટે તાલુકાની મંડળીઓના મતદારો જ મતદાન કરે છે. જો તાલુકા મુજબ મતદાન પેટર્ન નક્કી થાય તો નવા બનેલા તાલુકા અડાજણ, અબ્રામા, ઉકાઇ, અંબિકા અને અરેઠ તાલુકાની દૂધ મંડળીઓને પણ ઉમેદવારીનો અધિકાર આપવો પડે. સુમુલ ડેરીમાં હાલ વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે અને સિમાંકનને લઈને કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારો ચૂંટણી વહેલી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
યુવતીએ જીવાદોરી કાપી:કતારગામમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
કતારગામમાં એક યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવતીએ કયા કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. કતારગામ સાંઈ રેસીડેન્સી ખાતે રહેતાં 33 વર્ષીય અલ્પાબેન ભીમાભાઈ મોરી ઓનલાઈન વેપાર કરતાં હતાં અને બહેન સાથે રહેતા હતા. મંગળવારે રાત્રે અલ્પાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અલ્પાબેને ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. પોલીસે સંબંધીઓના નિવેદન નોંધ્યા હતા.
છેતરપિંડી:મર્સિડીઝ કારના રૂ. 20 લાખ નહીં ચૂકવી જમીન દલાલ સાથે છેતરપિંડી
સાબરકાંઠાના જમીન દલાલને સુરતમાં રહેતા પરિચિતની મર્સિડીઝ કાર વેચવાનું ભારે પડ્યું હતું. કાર દલાલે સુરતથી વાયદા પર કાર ખરીદીને બારોબાર વેચી દઇને રૂ.20 લાખની ઠગાઇ કર્યાનો બનાવ મહિધરપુરા પોલીસમાં નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાને હિંમતનગર રાજશિવ સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ ભાટી વાહન અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાબરકાંઠાના તલોદ તાલુકાના અંજાણાગામ પ્રજાપતિવાસમાં રહેતા અરવિંદ રમણ પ્રજાપતિ પણ કાર દલાલીનું કામ કરતો હોવાથી તેની સાથે પરિચય હતો. જુન 2025માં અરવિંદે તેના પાસે પ્રિમિયમ કાર હોય તો જણાવવા કહ્યું હતું. જેથી નરેન્દ્રસિંહે સુરત રહેતા તેના પરિચિત આદેશ દેવકુમારની મર્સિડીઝ કાર વેચવાની હોવાનું કહ્યું હતું. બાદમાં બંને જણા તા.26-6-2025ના રોજ સુરત દિલ્હીગેટ ચાર રસ્તા પાસે આવ્યા હતા. જ્યાં આદેશ કાર લઇને આવ્યા હતા. કાર જોઇને અરવિંદે રૂ. 20 લાખમાં દર મહિને રૂ.5 લાખ લેખે ચાર હપ્તામાં પૈસા આપવાની શરત સાથે સોદો નક્કી કર્યો હતો. જેના બદલામાં તેણે ચાર ચેક પણ આપ્યા હતા. જ્યારે ચેકની પાકતી તારીખે નરેન્દ્રસિંહે અરવિંદ પ્રજાપતિ પાસે પેમેન્ટ માંગતા તેણે વાયદા કર્યા હતા. કાર પરત માગી તો તે પણ આપવાની ના પાડીનરેન્દ્રસિંહને શંકા જતા તેણે તપાસ કરી તો અરવિંદે આ કાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા રડોગરા ગામમાં રહેતા મિલાપ વિનુભાઇ પટેલને વેચી દીધી હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નરેન્દ્રસિંહે મિલાપને ફોન કરીને કાર પરત માંગતા તેણે કાર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે નરેન્દ્રસિંહે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ પ્રજાપતિ અને મિલાપ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
આપઘાતનો:આર્થિક તંગીથી રત્નકલાકારનો ઝેર પી આપઘાત
કતારગામમાં હીરાના કારખાનાની બહાર ઝેર પી આધેડ રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકળામણના કારણે રત્નકલાકારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ડભોલી સ્વામીનારાયણ નગર ખાતે રહેતા 51 વર્ષીય ભીમજી પૂજાભાઈ વેકરીયા હીરાના કારખાનામાં કામ કરતા હતા. મંગળવારે સવારે તેમણે કતારગામ ધર્મનંદન ડાયમંડ પાસે અનાજમાં નાંખવાનો પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મંગળવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. હીરામાં ચાલી રહેલી મંદી વચ્ચે આર્થિક સંકળામણના કારણે તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢની ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ભારતભરમાંથી આવેલા હજારો નાગા સાધુઓ અને અઘોરીઓ છે. હાથમાં ચિલમ, શરીર પર ભભૂત અને લાંબી જટાઓ સાથે જ્યારે ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરે છે, ત્યારે ભાવિકો એક અલગ જ દિવ્યતાનો અનુભવ કરે છે. લોકો માટે આ સાધુઓ કુતૂહલનો વિષય છે, પરંતુ વાસ્તવમાં આ સાધુઓની દુનિયા સામાન્ય માનવીના વિચાર કરતાં ઘણી ભિન્ન અને રહસ્યમય છે. નાગા સાધુઓ અને અઘોરીઓની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા માટે દિવ્ય ભાસ્કર મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યું હતું. જ્યાં પહોંચતાની સાથે જ ધૂણી ધખાવી અલખની આરાધના કરતા નાગા સાધુઓને જોઈ લાગે કે આ અઘોરીઓ અને નાગા સાધુઓની એક અલગ દુનિયા છે. શરીરે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી જટા અને ચમકતી આંખોમાં જાણે કે શિવની ભક્તિ સમાયેલી હોય તેવી અનુભૂતિ થાય છે. નાગા સાધુઓની વાત કરવામાં આવે તો તેઓ વાસ્તવમાં સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ સૈનિકો માનવામાં આવે છે. તેમનું જીવન ગુરુની સેવા અને કઠિન સાધનાથી શરૂ થાય છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંસારનો મોહ ત્યાગી અખાડામાં જોડાય છે, ત્યારે ગુરુ સૌપ્રથમ તેની કસોટી કરે છે. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કર્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે. શાહી સ્નાન અને શોભાયાત્રા સંગઠિત શક્તિનું પ્રતીકઆ સાધુઓ શાકાહારી અને સાત્વિક જીવન જીવે છે. તેઓ ભલે નગ્ન અવસ્થામાં રહેતા હોય, પરંતુ શારીરિક તપસ્યા અને યોગ દ્વારા તેમણે પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ વિજય મેળવેલો હોય છે. તેઓ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ હોવાનું માનવામાં આવે છે. કુંભના મેળામાં તેમનું શાહી સ્નાન અને શોભાયાત્રા એ તેમના સંગઠિત શક્તિનું પ્રતીક છે. અઘોરી સાધુઓની દુનિયા સંપૂર્ણપણે રહસ્યમય અને એકાંતપ્રિયબીજી તરફ, અઘોરી સાધુઓની દુનિયા સંપૂર્ણપણે રહસ્યમય અને એકાંતપ્રિય હોય છે. અઘોરીઓ સ્મશાનને જ પોતાનું ઘર માને છે અને જનમેદનીથી દૂર રહીને ભગવાન શિવના 'અઘોર' સ્વરૂપની ઉપાસના કરે છે. તેમના માટે દુનિયામાં કશું જ અપવિત્ર નથી. તેઓ સ્મશાનમાં રહીને તંત્ર-મંત્રની સાધના કરે છે અને માનવ ખોપરીમાં ભોજન ગ્રહણ કરે છે. અઘોરીઓ કાળા વસ્ત્રો ધારણ કરે છે અને સ્મશાનની રાખને જ પોતાનો શ્રૃંગાર માને છે. તેઓ એવી વસ્તુઓનું સેવન કરે છે જે સામાન્ય માનવી વિચારી પણ ન શકે, જેમ કે માસ, મટન અને મદિરા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન અને મૃત્યુ વચ્ચેના ભેદને મિટાવવાનો અને શિવમય બનવાનો હોય છે. અઘોરીઓ એકલા અને નાગા સાધુ સંગઠીત થઈને અખાડામાં રહે છેનાગા સાધુઓ અને અઘોરીઓમાં એક મુખ્ય તફાવત એ છે કે નાગા સાધુઓ સંગઠિત અખાડાઓમાં રહે છે, જ્યારે અઘોરીઓ કોઈ પણ બંધન વિના એકલા સાધના કરે છે. નાગા સાધુઓ સાર્વજનિક કાર્યક્રમો અને કુંભ જેવા મેળાઓમાં અગ્રીમ ભૂમિકા ભજવે છે. જ્યારે અઘોરીઓ ગુપ્ત રીતે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં માને છે. જગદ્દગુરુ મહેન્દ્ર નંદગીરી મહારાજના શિષ્ય પ્રકાશાનંદગીરી મહારાજે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે મેં 2021માં હરિદ્વારમાં દીક્ષા લીધી હતી. જ્યાં અમારા સોળે સંસ્કાર કરી હરિદ્વારમાં વૈદિક દીક્ષા લીધી હતી. જેથી હું બર્ફાની કહેવાવ છું. ન માનવ યોની કે ન મૃત્યુ યોની અમે ભૂત યોનીમાં કહેવાય: પ્રકાશાનંદગીરી મહારાજઅખાડાઓના નીતિ નિયમો અને ચુસ્ત પાલન હેઠળ અમારા ગુરુજી અને અખાડાના વરિષ્ઠ સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ અમે ન માનવ યોની કે ન મૃત્યુ યોની અમે દીક્ષા બાદ ભૂત યોની એટલે કે શિવના ગણ કહેવાય. ગુરુને યોગ્ય લાગે ત્યારે નાગા સાધુની દીક્ષા અપાય છેનાગા સાધુ બનવા માટે સૌપ્રથમ મહાપુરુષની ભૂમિકા ભજવવાની હોય છે. જેમાં ગુરુની સેવા કર્યા બાદ સંપૂર્ણપણે અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન ધારણ કર્યા બાદ ગુરુને યોગ્ય લાગે ત્યારે નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. નાગા સાધુ બન્યા બાદ રાષ્ટ્રપ્રેમ, સનાતન હિંદુ ધર્મ અને સંસારમાં વધુમાં વધુ ધર્મનો પ્રચાર થાય તેવા રાષ્ટ્રહિતના તમામ કાર્યો એક નાગા સાધુએ કરવાના હોય છે. ગુરુના આદેશ મુજબ રાષ્ટ્ર પર જ્યારે પણ કોઈપણ મુસીબત આવે કે હિન્દુ ધર્મ પર કોઈ સંકટ આવે ત્યારે નાગા સાધુઓ દેહ બલિદાન દેવા પણ તૈયાર હોય છે.ઘણા નાગા સાધઓ પરિભ્રમણ પણ કરતા હોય છે. હિન્દુ ધર્મ અને સનાતનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા તમામ કાર્યો નાગા સાધુઓ દ્વારા કરવામાં આવે છે. અઘોરીઓ સ્મશાનમાં જ ભગવાન શિવની પૂજા કરે છેનાગા સાધુઓના ઘણા ગુરુ ભાઈઓ હોય છે જેને ગુરુની આજ્ઞા મુજબ સંગઠિત થઈ હિન્દુ ધર્મ અને સનાતનને વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા કાર્યો કરવાના હોય છે. ત્યારે બીજી તરફ અઘોરીઓ સ્મશાનમાં જ ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે અને એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. અઘોરીની એકાંતમય સાધના અને તપસ્યા હોય છે. જેને લઇ અઘોરીઓ પોતાનો મોટાભાગનો સમય સ્મશાનમાં જ વિતાવે છે. જ્યાં તે તંત્ર, મંત્ર અને વિદ્યાની તપસ્યા કરે છે. અઘોરીઓ કેમ ઝડપથી ગુસ્સે થઈ જાય છે?અઘોરીના ઝડપથી ગુસ્સે થવા અંગે કહે છે કે, અઘોરીઓમાં તમસ ખૂબ હોય છે કારણ કે તેનું અગ્નિચક્ર એટલે કે આજ્ઞા ચક્ર સતત જાગૃત હોય છે. કડકડતી ઠંડીમાં પણ અઘોરીઓ કે નાગા સાધુઓને ઠંડી લાગતી નથી. હિમાલયમાં પણ જપ-તપ કરે છે. તેનામાં અગ્નિચક્ર શ્રેષ્ઠ હોય છે. પોતાની ભ્રકુટીમાં અગ્નિ તત્વ જ્યારે ખુલે છે ત્યારે તેના શરીરમાં સતત અગ્નિ એટલે કે દેહમાં આગ જ પ્રવર્તવા લાગે છે. અઘોરીઓ અને નાગા સાધુઓ શિવના ગણ છે. શિવ ઉત્પત્તિ એટલે કે જેમાં રજો ગુણ ,તમો ગુણ અને સમો ગુણ શ્રેષ્ઠ હોય છે. જેનાથી તેનામાં તામસ ખૂબ હોય છે અને ઝડપથી ગુસ્સે થઈ જાય છે. અઘોરીઓ જપ યોગ અને તપ યોગ કરે છેનાગા સાધુઓમાં અને અઘોરીઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને ચિંતન, મનન તેમજ જપ, તપ અને તપસ્યાનું ખૂબ જ ઊંડુ જ્ઞાન હોય છે. અઘોરીઓ જપ યોગ અને તપ યોગ કરે છે. સમાધિમાં તલ્લીન થઈ નાભિમાંથી અમરકંટક એટલે કે કપાળના આભામંડળમાં તેને લઈ જવામાં આવે છે અને તે સમયે શરીર સ્થિર થાય છે. ઘણા ઋષિમુનિઓ એવા પણ છે જે ધ્યાન મુદ્રામાં વર્ષો સુધી મગ્ન બની રહે છે. આજ સાધનાનો એક ભાગ છે. અઘોરીઓ વર્ષો સુધી યોગ દ્વારા જ સિદ્ધિ મેળવી હોય છેકાળી વિદ્યાની જો વાત કરવામાં આવે તો તે લોકોની માન્યતા છે, કારણ કે કાળી વિદ્યા જેવું આમ જોઈએ તો કંઈ હોતું નથી. પરંતુ તેને કાળી વિદ્યા કહેવાના બદલે જપ અને સાધના કહેવું વધુ યોગ્ય છે. કારણ જે નાગા સાધુઓ કે અઘોરીઓ પોતે તપસ્યા કરે છે, જપ કરે છે . તે માટેની તાકાત છુપાયેલી હોય છે કારણ કે વર્ષો સુધી યોગ દ્વારા જ સિદ્ધિ મેળવી હોય છે. જૂનાગઢના આ ભવનાથ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે આ સાધુઓના દર્શન કરે છે, ત્યારે તેમને સાક્ષાત્ શિવની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. ધૂણીની રાખ, રુદ્રાક્ષની માળાઓ અને ચમકતી આંખો ધરાવતા આ સાધુઓની દુનિયા ભલે સામાન્ય લોકો માટે વિચિત્ર હોય, પરંતુ તેમની ભક્તિ અને તપસ્યા જ આજે હિન્દુ ધર્મના મૂળિયાં મજબૂત કરી રહી છે. આ સાધુઓ માત્ર મેળા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ સનાતન સંસ્કૃતિના એવા સ્તંભો છે જે અનાદિકાળથી ધર્મનું રક્ષણ કરતા આવ્યા છે અને કરતા રહેશે.
ચાલતી-ફરતી સ્કૂલ:ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલના પ્રોજેક્ટથી કલમ-પુસ્તક આપી ભણાવાશે
શહેરના ચાર રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગતા બાળકો માટે પાલિકાએ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ માટે ₹40 લાખના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. ચાઈલ્ડ-ફ્રેન્ડલી બસ બનશે જ્ઞાનનું ધામ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે બાળકોને શાળાએ જવાની જરૂર નહીં પડે, શાળા બાળકો પાસે જશે. ખાસ ચાઈલ્ડ-ફ્રેન્ડલી બસમાં સ્માર્ટ એજ્યુકેશન પેનલ અને અત્યાધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ, બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક ઈન્ટીરિયર, ભણતરની સાથે મનોરંજન અને રમત-ગમતનાં સાધનો. શહેરમાં અનેક બાળકો એવા છે જેમણે ક્યારેય શાળાનું પગથિયું ચઢ્યું નથી અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. પાલિકા દ્વારા 6 થી 14 વર્ષના આવા બાળકોનો સર્વે કરવામાં આવશે. તેમને નિશ્ચિત સ્થળેથી બસમાં લાવી અક્ષરજ્ઞાન અને બ્રિજ કોર્સ કરાવાશે. ત્યારબાદ તેમને મ્યુનિસિપલ શાળામાં કાયમી પ્રવેશ અપાશે. ભોજનની વ્યવસ્થા,આરોગ્યની તપાસભોજન અને આરોગ્યની પણ કાળજી, માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આ બાળકોના સર્વાંગી વિકાસ માટે બસમાં જ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. સમયાંતરે બાળકોની આરોગ્ય તપાસ થશે અને તેમને પ્રોત્સાહક ઇનામો આપી શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવામાં આવશે. શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં હાલ 2 લાખ વિદ્યાર્થીઓ છે, ત્યારે આ પ્રોજેક્ટથી શાળા બહારના બાળકોનો આંકડો શૂન્ય પર લાવવાનો લક્ષ્ય છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જેલ... આ શબ્દ સાંભળતા જ ભલભલાની આંખોના ભવાં ઊંચા થઇ જાય, ધબકારા વધી જાય અને મનમાં એક પ્રકારનો ભય તથા નકારાત્મક છબી ઊભી થાય. જો કે હકીકતમાં જેલ એ કેદીઓ માટેનું સુધારણા કેન્દ્ર છે. જ્યાં તે પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરે અને મુક્ત થયા પછી ફરી આવો ગુનો કરતા અટકીને એક સભ્ય નાગરિક બને. જ્યારે કોઇ કેદી જેલની એ ચાર દીવાલો અને લોખંડના સળિયા પાછળની અંધારી દુનિયામાં જાય છે ત્યારે તે ઘણીવાર ગુનાખોરીની દુનિયાનો મોટો ખેલાડી બનીને બહાર આવે છે. સુધરવાને બદલે તે કુખ્યાત ગુનેગારો પાસેથી ગુનાની નવી કળાઓ શીખીને આવે છે. જેના કારણે સામાન્ય આરોપી પણ રીઢો ગુનેગાર બની જાય છે. આ જ કારણોસર લોકોએ જેલને ક્રિમિનલ યુનિવર્સિટીનો ટેગ આપી દીધો છે પણ હવે અમદાવાદ સેન્ટ્રલ જેલે યુવા કેદીઓ માટે અલગ બેરેક ઊભી કરીને એક નવી પહેલ કરી છે. આ પહેલથી યુવા કેદીઓ રીઢા ગુનેગાર બનતા અટકશે. 18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને જેલમાં રાખવામાં આવે છે. જ્યારે તેનાથી નાની વયના કિશોરોને બાળ સુધારણા કેન્દ્ર (ચિલ્ડ્રન રિમાન્ડ હોમ)માં રાખવામાં આવે છે. જેલોમાં જેમને સજા ફટકારવામાં આવી હોય તેવા કેદીઓને પાકા કામના કેદી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જેમની સામે કોર્ટમાં કેસ ચાલુ હોય અથવા ટ્રાયલ શરૂ થવાની બાકી હોય તેમને કાચા કામના કેદી કહેવાય છે. કેદીઓની મિત્રતા બહાર જઇને ગેંગનું સ્વરૂપ ધારણ કરે છેકેદીઓને અલગ અલગ રાખવા શક્ય ન હોવાથી આ કેદીઓને એક બેરેકમાં સાથે રાખવામાં આવતાં હોય છે. આમાં નાના-મોટા ગુનાના આરોપીથી માંડીને અઠંગ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તેઓ પરસ્પર એકબીજાના સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે મિત્રતા કેળવાય છે. આ મિત્રતા બહાર જઇને પણ ચાલુ રહેતાં ગેંગનું સ્વરૂપ ધારણ કરે છે. તેમાં પણ સામાન્ય ગુનામાં પ્રથમવાર જેલમાં આવેલા યુવાનો કુખ્યાત ગુનેગારોના સંપર્ક અને પ્રભાવમાં આવીને રીઢા ગુનેગાર બની જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. જોકે જેલમાં રહીને ઘણા લોકો સુધરે પણ છે અને પોતાના પગ પર ઊભા રહીને નવું જીવન જીવવા લાગે છે. યુવા કેદીઓ માટે નવી બેરેક ઊભી કરાઇઅમુક લોકો કુખ્યાત ગુનેગારોની સંગતના કારણે વધુ ખતરનાક બની જાય છે. અમદાવાદ મધ્યસ્થ જેલ ઓથોરિટીએ આ ગંભીર બાબતને ધ્યાને લઇ યુવાનો અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવીને ગુનેગાર ન બને તે હેતુથી 18થી 24 વર્ષની વય ધરાવતા કેદીઓ માટે અલગ બેરેક ઊભી કરી એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. યુવા કેદીઓને સેપરેટ બેરેકમાં રાખવામાં આવે છે. એક મહિના પહેલા જ આ અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં હાલ આશરે 330 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલમાં L આકારની નવી બેરેક પણ બની રહી છે. જેની ક્ષમતા 1080 કેદીઓની હશે. તેની સાથે અન્ય 3-4 બેરેક પણ બની રહી છે. જેમાં 100 જેટલા કેદીઓ રહી શકશે. આમ અંદાજે 1200 કેદીઓ માટે વધારાની સુવિધા ઊભી થશે. જેલના ઓવરક્રાઉડિંગની સમસ્યા નિવારવા આ પગલું લેવાયું છે, જે 2-3 મહિનામાં તૈયાર થઇ જશે. આ અંગે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, અમદાવાદ મધ્યસ્થ જેલમાં 6 બેરેક છે. દરેક બેરેકમાં 50થી વધુ કેદીઓને રાખવાની સુવિધા છે. તે રીતે અમે 330 કેદીઓને રાખ્યા છે. બાકીના 18થી 24 વયના કેદીઓનું ધ્યાન રાખવામાં આવે છે કે તેમને રીઢા ગુનેગારોની બેરેકમાં ન રાખવામાં આવે. જે ગુનો કરવાની આદતવાળા છે તેવા કેદીઓથી દૂર એકાદ ગુનો કરીને આવ્યા હોય તેવા પ્રકારના કેદીઓ સાથે રાખવામાં આવે છે. ગૌરવ અગ્રવાલ વધુમાં જણાવે છે કે, 18થી 24 વર્ષની ઉંમરના કેદીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘણીવાર પોક્સો અથવા સામાન્ય મારામારી જેવા ગુનામાં આવતા કેદીઓ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. વળી, આ ઉંમર ખૂબ જ પ્રભાવિત થઇ જવાની હોય છે. જો તેઓ રીઢા ગુનેગારોના સંપર્કમાં આવે તો નવા પ્રકારના ગુનાઓ શીખવાની પૂરેપૂરી શક્યતા રહે છે. 'અમારો ઉદ્દેશ્ય હંમેશા કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન તરફ જવાનો છે, જેથી યુવાનો જેલમાંથી નવો ક્રાઇમ શીખીને જવાને બદલે બહાર નીકળીને સમાજમાં હકારાત્મક યોગદાન આપી શકે.' જેલોમાં અત્યારે બેકરી પ્રોડક્ટ્સથી માંડીને ફર્નિચર અને ફરસાણ જેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કેદીઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે સરકારી વિભાગોને જેલના કેદીઓ દ્વારા બનાવાતી વસ્તુઓ ખરીદવાની ખાસ સૂચના અપાઇ છે. જેલમાં તાલીમ મેળવીને કેદી મુક્ત થયા બાદ પોતાની રોજીરોટી રળી શકે તે માટે વિવિધ સુધારણા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. 'જેલ બહાર નીકળીને મોટા ગુનેગાર બનેલા હોય તેવા કોઇ આંકડા નથી'અમે સવાલ કર્યો કે હાલ એવા કેટલા ગુનેગારો છે જે જેલમાંથી બહારની નીકળીને કુખ્યાત બની ગયા હોય? આ અંગે તેમણે કહ્યું કે જેલમાંથી બહાર નીકળીને મોટો ગુનેગાર થઇ ગયો હોય તેવા કોઇ કેસ કે સંખ્યા અમારી પાસે નથી કે તેનું નામ જણાવી શકાય. પરંતુ કેદીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. એક જાણીતી વાત છે કે જેલને ક્રાઇમ યુનિવર્સિટી કહેવામાં આવે છે. જેલમાં કોઇ આવે છે અને ત્યાંથી શીખીને જાય છે. તેને ધ્યાનમાં રાખીને જ આ કરવામાં આવ્યું છે. અત્યારે અમારી પાસે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ નથી કે આ રીતે કેટલાં લોકો ગુનેગાર બન્યાં છે. બહાર ગેંગસ્ટર બન્યાં છે કે ક્રિમીનલ ગેંગમાં સામેલ થયાં હોય. કેદીઓ ડિપ્રેશનમાં હોય તો તેમના માટે કાઉન્સેલિંગવધુમાં તેઓ કહે છે કે, કેદીઓના કાઉન્સેલિંગ માટે અમે રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જો કોઇ કેદી ડિપ્રેશનમાં હોય કે તેને સાયકોલોજિકલ સમસ્યા હોય તો RRUનો સ્ટાફ જેલમાં આવીને કાઉન્સેલિંગ સેશન લે છે. તેઓ કેદીઓ સાથે વાતચીત કરી સમસ્યાનું નિરાકરણ લાવે છે. જોકે ડિપ્રેશનવાળા કેદીઓની કોઇ ચોક્કસ સંખ્યા નથી પરંતુ જ્યારે પણ આવો કિસ્સો ધ્યાને આવે ત્યારે તાત્કાલિક RRU ને સોંપવામાં આવે છે. હાલ જેલના છોટા ચક્કરમાં ચાર નવી બેરેક પણ બનાવવામાં આવી રહી છે. જ્યાં 100 કેદીઓ રહી શકે તેટલી ક્ષમતા રહેશે. આ બનાવવા પાછળનું કારણ જણાવતાં ગૌરવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, જેલની કેપેસિટી વધારવામાં આવે. હાલ જેલમાં ઓવરક્રાઉડિંગનો ઇસ્યૂ છે. તેના કારણે ઘણીવાર આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહે છે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બેરેક બનાવવામાં આવી રહી છે.
અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે ધોલેરામાં બની રહ્યું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ. આ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી કોને ફાયદો થશે. એરપોર્ટની ખાસિયતો શું છે. જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને મેળવો એક ઝલક.
છેવાડાના અને મધ્યમ વર્ગની વસ્તી ધરાવતા લિંબાયત-ગોડાદરા વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર હવે ઘરઆંગણે જ ખુલવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ટી.પી. સ્કીમ નં. 69 (ગોડાદરા-ડીંડોલી)માં ડિસ્ટ્રિક્ટ સેન્ટર હેતુ માટે અનામત રાખેલી અંદાજે 31,415 ચોરસ મીટર જમીન સરકારી કોલેજના નિર્માણ માટે ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમીનની કિંમત અને અદલાબદલીનું ગણિત જિલ્લા મૂલ્યાંકન સમિતિના નવા રિપોર્ટ મુજબ, આ જમીનની કિંમત પ્રતિ ચોરસ મીટર રૂા.74,800 લેખે અંદાજે 235 કરોડ આંકવામાં આવી છે. આ કિંમતી જમીન સામે રાજ્ય સરકાર મનપાને અન્ય વિસ્તારોમાં તેટલી જ રકમની સરકારી પડતર જમીનો આપશે. જેમાં આ નવી કોલેજ બનવાથી લિંબાયત વિસ્તારના વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સના અભ્યાસ માટે અન્ય વિસ્તારોમાં લાંબા ધક્કા ખાવા નહીં પડે અને વાજબી ફીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે. ત્રિપક્ષીય કરાર કરાશેટીપી 79 (સુલતાનાબાદ-ભીમપોર), ટીપી 50 (ભાઠા-બેટ), બમરોલીની જમીનો MoUની તૈયારી આ પ્રોજેક્ટ માટે પાલિકા, કલેક્ટર કચેરી અને કોલેજના આચાર્ય વચ્ચે ત્રિપક્ષીય કરાર કરાશે. આ પ્રક્રિયામાં 2.60 કરોડનો ખર્ચ (સ્ટેમ્પ ડ્યુટી સહિત) શિક્ષણ વિભાગ ઉઠાવશે.
નોકરી ન્યુઝ:NCLમાં 270 આસિ. ફોરમેનની જગ્યા ભરાશે, 47 હજાર પગાર
નૉર્ધન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL) દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ET વિભાગમાં કુલ 270 પદો ભરવામાં આવશે. 10મું પાસ અને સંબંધિત એન્જિનિયરિંગ ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ માટે પાત્ર ગણાશે. વયમર્યાદા 18થી 30 વર્ષ છે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 47,330 બેઝિક પગાર અને અન્ય ભથ્થાં મળશે. પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટના આધારે કરાશે 5 માર્ચ સુધી અરજી કરી શકાશે. આ વિભાગ માટે જગ્યા આ રીતે અરજી કરો
સીમાડા નાકા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીના સરથાણા સેન્ટર દ્વારા આજથી શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે. જે નિમિત્તે નારી શક્તિ દ્વારા શિવપૂજન, ગોકુલગામની યાત્રા, શંકરદેવની ઝાંખી, દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ 921 શ્રીફળમાંથી અદ્ભૂત શિવલિંગનું નિર્માણ કરાયું છે. ગુરુવારે સાંજે 7 કલાકે પ્રજાપતિ બ્રહ્માકુમારી દ્વારા આયોજિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન થશે. 16મી ફેબ્રુઆરી સુધી સવારે 7થી 11:30 અને રાત્રે 10 કલાક સુધી દર્શન કરી શકાશે.
ભાસ્કર ઇમ્પેક્ટ:વોકવેને એક સપ્તાહ બંધ કરી સ્ટ્રક્ચરની મરામત શરૂ કરાઈ
અઠવા રિવરફ્રન્ટ સ્થિત ફ્લડ ગેટ પાસે ભૂવા પડવા મુદ્દે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બુધવારે પાલિકાની ટીમે સ્થળ નિરીક્ષણ કરતાં જણાયું હતું કે આઉટલેટનું તળિયું ભરતીના પાણીથી ધોવાઈને ધસી પડ્યું છે. પાઇપ લાઇનને નુકસાન થાય તે પહેલાં મરામત શરૂ કરાઈ છે. જોકે હાઇટાઇડને ધ્યાનમાં રાખીને ઊંચાઈ કેમ ન વધારાઈ તે સવાલ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:જુહુથી સુરત આવતા હેલિકોપ્ટરનું કેળવે રોડ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ
મુંબઈના જુહુથી સુરત તરફ આવવા નીકળેલા એક ખાનગી હેલિકોપ્ટરમાં મધ્ય આકાશમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાલઘરના કેળવે રોડ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈજનેરની સમયસૂચકતાથી જાનહાની ટળી હતી. બપોરે અંદાજે 12:30 વાગ્યે ઉડાન દરમિયાન હેલિકોપ્ટરની સિસ્ટમમાં ‘રેડ લાઈટ’ ઝબકતા પાયલટે જોખમ પારખી લીધું હતું. પાયલટે સમયસૂચકતા વાપરી કેળવે રોડ સ્થિત વિદ્યાવૈભવ હાઈસ્કૂલના મેદાનમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર પાયલટ, કો-પાયલટ અને એન્જિનિયર સહિત ચારેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ટેક્નિકલ સ્ટાફે હેલિકોપ્ટરની ખામી દૂર કરી હતી. અંદાજે 45 મિનિટ સુધી મેદાન પર રોકાયા બાદ, સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટરને સુરત લાવવાને બદલે જુહુ સ્થિત મુખ્ય મથકે પરત લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. સફાળે પોલીસના જણાવ્યા અનુસાર, પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
એરપોર્ટથી બહાર નીકળતા જ ટેક્સી બુકિંગમાં થતી લૂંટ અને મુસાફરોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતી સિસ્ટમ પર હવે કાયમી બ્રેક લાગશે. એરપોર્ટ ઓથોરિટીએ ખાનગી કંપનીઓની ઈજારાશાહી તોડવા ‘ભારત ટેક્સી’ સાથે હાથ મિલાવ્યા છે. સહકાર ટેક્સી સંચાલિત આ સેવા એકાદ મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ અને ભૂજ સહિત દેશના 9 એરપોર્ટ પર પેસેન્જરોને ‘ફર્સ્ટ ક્લાસ’ મુસાફરીનો અનુભવ કરાવશે. તાજેતરમાં AAIના ચેરમેન વિપિન કુમારે આ સમજૂતી કરાર (MoU) પર મહોર મારી હતી. આ નવી વ્યવસ્થાથી એરપોર્ટ ટ્રાન્સપોર્ટમાં ‘ગળાકાપ સ્પર્ધા’ જામશે અને અંતે તો ફાયદો મુસાફરોને જ થશે. ગુજરાતના ચાર સહિત દેશના આ નવ એરપોર્ટ પર સેવા મળશે ભાસ્કર નોલેજટેક્સીના ડ્રાઈવરો નોકર નહીં પણ સહ-માલિક હશેઅત્યાર સુધી ખાનગી કંપનીઓ રાત્રે કે ડિમાન્ડ વધતાં મનફાવે તેમ ભાડાં વસૂલતી હતી, જે ભારત ટેક્સીના આગમનથી અટકી જશે. આ સેવા NCDC દ્વારા પ્રમોટેડ છે. અહીં ડ્રાઈવર કોઈ કંપનીનો નોકર નહીં પણ કો-ઓનર (સહ-માલિક) છે. કમિશનખોરી બંધ થતાં ડ્રાઈવરની આવક વધશે અને પેસેન્જરનું ભાડું ઘટશે. જે રીતે દૂધમાં અમૂલે ક્રાંતિ કરી તેમ ટેક્સી સેવામાં સહકારી શક્તિના જોડાણથી ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરવામાં આવશે. કામની વાતસેવાનો લાભ આ રીત લઈ શકાશે
રવિવારે મહાશિવરાત્રિ:રાત્રિના 2:45 કલાક સુધી વ્યતિપાત યોગ
પંચાંગ પ્રમાણે મહા વદ તેરસને રવિવાર તા. 15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ છે. આ વર્ષે શિવરાત્રિના દિવસે આખો દિવસ તથા રાત્રિના 2:45 કલાક સુધી વ્યતિપાત યોગ છે. જે શિવ પૂજા-ઉપાસના માટે ઉત્તમ રહેશે, વ્યતિપાત યોગને શુભ કાર્યમાં લેવાતો નથી જ્યારે પૂજાપાઠ, જાપ, તપ માટે ઉત્તમ ફળ આપનાર બને છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું મહાશિવરાત્રિએ શિવજીની ઉપાસના કરવી અથવા ‘ૐ નમઃ શિવાય’ પંચાક્ષર મંત્રની 21 અથવા 108 માળા સિદ્ધિ આપનાર બનશે. જન્મકુંડળીમાં ચંદ્ર-રાહુનો ગ્રહણ યોગ હોય શનિ-ચંદ્રનો વિષયોગ હોય, કેમદ્રુમ યોગ હોય, ચંદ્ર નબળો હોય તો શિવજીને જળ ચઢાવવાથી લાભ મળે તથા માનસિક શાંતિ મળે. શિવને જળ ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય. દૂધ ચડાવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય, મધ પણ ચડાવવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય, ધ્રોકડ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય, દર્ભ (દાભરો) ચડાવવાથી પાપનો નાશ થાય છે. નિશીથ કાળ રાત્રે 12:37થી 1:25 સુધી છે. રાશિ પ્રમાણે મહાદેવની આ પ્રમાણે પૂજા કરવી ચાર પ્રહરની પૂજા રાત્રિના ચાર પ્રહર (સમય): મહાદેવને અલગ અલગ દ્રવ્યના અભિષેક કરવાથી મળતું ફળ
પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ:મોઢ વણિક જ્ઞાતિએ રૂગનાથજી મંદિરનો 139મો પાટોત્સવ ઉજવ્યો
શહેરની બોઘાણી શેરી, સોની બજાર ખાતે આવેલા સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ(રૂગનાથજી) ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા 138 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. સમસ્ત મોઢ વણિક જ્ઞાતિની આસ્થાનું કેન્દ્ર શ્રી રૂગનાથજીનો તાજેતરમાં 139મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રીજીની આંગી, શૃંગાર, ધજા આરોહણ અને અન્નકૂટ બાદ મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરના પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહાત્મા ગાંધીજી રાજકોટ ખાતેના રોકાણ દરમિયાન દર્શન કરવા આવતા હતા. સાથોસાથ મંદિરના વિવિધ ધાર્મિક પ્રસંગો દરમિયાન રાજકોટના તત્કાલીન ઠાકોરસાહેબ લાખાજીરાજબાપુ પણ પધારતા હતા. આ મંદિરનુ સંચાલન શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા કરવામાં આવે છે. પાટોત્સવના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને.ટ્રસ્ટી કિરેન છાપિયા, સહમંત્રી કેતન પારેખ સહિતના અનેક જ્ઞાતિજનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પરિણીતાને અપાયો ત્રાસ:પ્રસૂતિ સમયે પતિએ મહિલા તબીબને ‘આ બાળક કોનું છે?’ કહી સિતમ ગુજાર્યો
રાજકોટની મહિલા તબીબને જેતપુરમાં રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મેણાંટોણાં મારી ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભાવસ્થા સમયે પતિએ મહિલા તબીબને “આ બાળક કોનું છે?’ કહી સિતમ ગુજાર્યો, સાસુ-સસરાએ ઢોરમાર મારતા પોલીસમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં સહકાર મેઈન રોડ પરની સાધના સોસાયટીમાં એક વર્ષથી માવતરે એતી મહિલા તબીબ અંજલિબેન અગ્રાવતે(ઉં.વ.29)નામની પરિણીતાએ પોલીસમાં જેતપુર “અગ્રાવત ક્લિનિક’ પટેલ સમાજની વાડી પાસે રહેતા પતિ માધવ અગ્રાવત, સાસુ શોભનાબેન અગ્રાવત અને સસરા મહેશ ચત્રભુજભાઈ અગ્રાવત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ફેબ્રુઆરી 2022માં જેતપુરના રહેવાસી માધવ મહેશભાઈ અગ્રાવત સાથે થયા હતા. લગ્નના ચાર-પાંચ મહિના સુખરૂપ વિત્યા બાદ સાસરિયાંઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. સાસરિયાં દ્વારા ઘરકામ અને ઘરખર્ચ જેવી બાબતોમાં તેને અપશબ્દો બોલી મેણાંટોણાં મારવામાં આવતા હતા. તેમના પતિ માધવને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા, જે અંગે પૂછપરછ કરતા પતિ તેની સાથે ઝઘડો કરી મારપીટ કરતો હતો. આટલું જ નહીં, પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને પત્ની પર ખોટી શંકા કરી સતત માનસિક ત્રાસ આપતો હતો. પત્નીના મોબાઈલ પર કોનો ફોન આવે છે તેની વિગતો અને સ્ક્રીનશૉટ્સ પણ તે મગાવતો હતો. જ્યારે અંજલિબેન ગર્ભવતી હતા ત્યારે તેમની તબિયત સારી ન હોવા છતાં સાસુ શોભનાબેન તેમની પાસે ઢોરની જેમ કામ કરાવતા હતા. નવમો મહિનો ચાલતો હતો ત્યારે પણ પતિએ”આ બાળક કોનું છે’ તેવી શંકા કરી ઝઘડો કર્યો હતો. ડિલિવરી બાદ પણ સાસુ-સસરાએ તેને શાંતિ લેવા દીધી નહોતી અને મેણાં મારી હેરાનગતિ ચાલુ રાખી હતી. પરિણીતા હોમિયોપેથી ક્લિનિક ચલાવતી હતી, પરંતુ તેની તમામ આવક સાસરિયાંઓ પડાવી લેતા હતા. પતિ તેના કબાટમાં અન્ય સ્ત્રીઓના ફોટા રાખતો અને પત્નીને તે ખાનાને અડવાની પણ મનાઈ હતી. આખરે ત્રાસ સહન ન થતા પરિણીતા પિતાના ઘરે પરત ફરી હતી. પોલીસે પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હુમલો:પૈસાની લેતીદેતીને કારણે બે શીખ પરિવાર વચ્ચે સામ-સામે હુમલો
પોપટપરા મેઇન રોડ રઘુનંદન સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે પૈસાની લેતીદેતી અને જૂના મનદુઃખને લીધે મારામારી થતાં એક બીજા પર પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરતાં બંને પક્ષના મળી કુલ 6 લોકોને ઇજા પહોંચી હતી. રઘુનંદન સોસાયટીમાં રહેતાં બલજીતબેન રાઠોડ તથા તેનો દીકરો રવીન્દ્રસિંઘ સરપાલસિંઘ રાઠોડ સવારે ઘરે હતાં ત્યારે પાડોશી આકારસિંઘ, શાનુ, અનમોલ સહિતનાએ ઝઘડો કરી પાઇપથી માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. સામા પક્ષે તનુબેન મનજીતસિંઘ પોથીવાલ(ઉ.વ.25), મનજીતસિંઘ પોથીવાલ, આકાશસિંઘ અને ભગવતકી પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં પહોંચતા અને પોતાના પર પાડોશી રવીન્દ્રસિંઘ, પ્રદીપસિંઘ, ઇલવાસિંગ સહિતે પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરી ઇજા પહોંચાડ્યાનું કહેતાં બને બનાવની જાણ પોલીસને કરી હતી. આકાશસિંઘના ખિસ્સામાં રાખેલા ત્રીસ હજાર રૂપિયા પણ ઝપાઝપીમાં ખોવાઇ ગયા હતા. તેણીના ભાભી વિશે પણ રવીન્દ્રસિંઘ જેમ તેમ બોલ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. સામા પક્ષે રવીન્દ્રસિંઘે જણાવ્યું હતું કે, અગાઉ તેણે દસ હજાર રૂપિયા લીધા હોઇ તે વ્યાજ સહિત પંદર હજાર ચૂકવ્યા છતાં વધુ પૈસા માગતા જે અંગે તેણે પોલીસમાં અરજી કરી હોઇ તેથી મનદુઃખને લીધે મારામારી થઇ હતી.
લોભામણી લાલચે ફ્રોડનો શિકાર બન્યા મેનેજર:પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર સાથે જમીનમાં રોકાણના નામે ઠગાઇ
રાજકોટ શહેરમાં રહેતા અને પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા પ્રૌઢ સાથે અમદાવાદ અને ગાંધીનગરના શખ્સે અમદાવાદની જમીન મેટરમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી રૂ.16.40 લાખ પડાવી લઈ કોઈ પણ જાતનું વળતર કે રકમ ન આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ગાયત્રીનગર શેરી નં.10/02 જલારામ ચોક પાસે રહેતા અને પરીન મોટરના ફાઇનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા મુકેશભાઈ રતિલાલ ખીમાણીએ ક્રાઈમ બ્રાન્ચમાં અમદાવાદના મધુર અશોકભાઈ અગ્રાવત અને ગાંધીનગરના બળદેવ નાનુભાઈ દેસાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદની જમીન મેટરમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી આ મધુર અને બળદેવએ તેની પાસેથી રૂ.16.40 લાખ પડાવી લઈ કોઈ પણ જાતનું વળતર કે રકમ ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘કવચ કેન્દ્ર’ પહેલ અંતર્ગત યુનિસેફના સંકલન સાથે રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓમાં એક દિવસીય ‘વિદ્યાર્થી સાયબર સિક્યુરિટી’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાતની યુનિવર્સિટીઓમાંથી કુલ 780 વિદ્યાર્થીએ સહભાગી બનીને સાયબર સિક્યુરિટી સંબંધિત વ્યવહારિક જ્ઞાન મેળવ્યું હતું. આ પહેલ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠો તેમજ યુનિવર્સિટીઓમાંથી પ્રતિ સંસ્થા બે વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ કવચ કેન્દ્ર સાયબર ક્લબના વોલેન્ટરી તરીકે કામગીરી કરી રહ્યા છે અને તેમને જવાબદાર ડિજિટલ હાઇજિન, સાયબર ખતરાઓ સામે તૈયારી તેમજ સંસ્થાગત સાયબર સુરક્ષા મજબૂત બનાવવા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમબદ્ધ થયેલા આ વિદ્યાર્થીઓ હવે પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ સ્તરે ‘સાયબર જાગૃતિ દૂત’ તરીકેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલથી યુવાનોમાં સાયબર ઠગાઈ, ફિશિંગ, ડેટા પ્રાઇવસી અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે. સાથે જ ‘કવચ કેન્દ્ર’ પહેલના માધ્યમથી સાયબર ક્લબ્સની સ્થાપનાને વેગ મળશે અને સાયબર જોખમ નિવારણ તેમજ ડિજિટલ પ્રતિરોધ ક્ષમતામાં સંસ્થાગત તૈયારી વધુ મજબૂત બનશે. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાંથી અમુક વિદ્યાર્થીઓને જ આ તાલીમ માટે મોકલાયા હતા. તાલીમમાં શું શીખ્યા વિદ્યાર્થીઓતાલીમ દરમિયાન સાયબર સિક્યુરિટી જાગૃતિ, સાયબર હાઇજિન, ડિજિટલ નૈતિકતા, સાયબર ખતરાઓની ઓળખ, સાયબર ઘટનાની રિપોર્ટિંગ પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સાયબર સુરક્ષા સંસ્કૃતિ વિકસાવવામાં વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રીલથી રિયલ સુધીની સફર:યુનિ.માં 17મીથી સિનેમા જગતનાના દુર્લભ ખજાનાનું પ્રદર્શન
આજની પેઢી ભલે નેટફ્લિક્સ અને યૂટ્યૂબના જમાનામાં જીવતી હોય, પરંતુ જે મજા ‘બાયોસ્કોપ’ના કાચમાંથી ચિત્રો જોવામાં અને ‘ગ્રામોફોન’ની પ્લેટ પર રેકોર્ડ વગાડવામાં હતી, તે કંઈક અલગ જ હતી. સિનેમાના આ ભવ્ય ભૂતકાળને જીવંત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારત્વ ભવન લાવી રહ્યું છે એક અનોખું પ્રદર્શન- ‘ગુજરા હુઆ જમાના’. આગામી 17, 18 અને 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટીની આર્ટ ગેલેરી ખાતે ‘ગુજરા હુઆ જમાના’ શીર્ષક હેઠળ જૂના અને દુર્લભ સાધનોનું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ડિજિટલ ફિલ્મોના યુગમાં યુવાનો અને વિદ્યાર્થીઓને ફિલ્મ તથા સંગીત ક્ષેત્ર અને ટેક્નોલોજીના વિકાસથી પરિચિત કરાવવાનો છે. આ ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપ દ્વારા આધુનિક ફિલ્મ નિર્માણની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ પ્રદર્શન પત્રકારત્વ ભવન દ્વારા આયોજિત ‘ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપ’ના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન 17મી ફેબ્રુઆરી, મંગળવારના રોજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફિલ્મી પડદા પાછળના ઇતિહાસ અને ટેક્નોલોજીના ક્રમિક વિકાસથી માહિતગાર કરવાનો છે. વર્કશોપમાં એકતરફ આધુનિક ફિલ્મ નિર્માણની તાલીમ અપાશે, તો બીજી તરફ આ પ્રદર્શન દ્વારા તેના મૂળિયાની ઓળખ કરાવાશે. ફિલ્મ રસિકો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન જૂની યાદોને તાજી કરવાની સાથે કંઈક નવું શીખવાની શ્રેષ્ઠ તક સાબિત થશે. આ પ્રદર્શનમાં જાણીતા સંગ્રાહક પ્રકાશભાઈ વાગડિયાના સંગ્રહમાંથી વર્ષો જૂના સાધનો પ્રદર્શિત કરાશે. આટલા દુર્લભ સાધનો જોવા મળશે
મોરચાના મહામંત્રીના હાથમાં ‘ટિન’:રાજકોટ ભાજપના વધુ એક નવા હોદ્દેદારનો વિવાદ બહાર આવ્યો
રાજકોટ | શહેર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતા જ વિવાદો શરૂ થયા છે. મહામંત્રી સોમા ભાલિયાનો સાંકળ મારવાનો વીડિયો ફરતો થયો હતો. ત્યારબાદ હવે અનુ.જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાના ફોટા ફરતા થયા છે. જેમાં તેઓના હાથમાં એક ટિન દેખાઈ રહ્યું છે. આ ટિનમાં ક્યું પીણું છે તે માત્ર વાઘેલાને જ ખબર છે, ફ્રૂટ બીયર અથવા આલ્કોહોલવાળા બીયર જેવું આ ટિન દેખાઈ રહ્યું છે. આ ટિનમાં માદક પીણું છે કે પછી બીજુ કઈ છે? આ ફોટો ગુજરાતનો છે કે બહારનો? તે તપાસનો વિષય છે.
રાજકોટ-ગોંડલ રોડથી ભાવનગર અને અમદાવાદ તરફ જવા માટેનો બીજો રિંગ રોડ બિસ્માર બની ગયો હોવાથી રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ રોડ પર રિસર્ફેસિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા આગામી ચાર મહિના માટે આ મહત્ત્વના રોડને ભારે વાહનો માટે સદંતર બંધ કરવામાં આવ્યો છે. સાથે જ આ રોડ પર પસાર થતા હળવા વાહનો માટે પણ વૈકલ્પિક રૂટ અપનાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા જોતા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરની ફરતે બીજો રિંગ રોડ બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. જેમાં હાલ ગોંડલ રોડથી ભાવનગર રોડ તેમજ અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો ટુ લેન રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. જોકે, ચોમાસા દરમિયાન વરસાદને કારણે રસ્તો બિસ્માર બની જતા કોરાટ ચોકથી ભાવનગર રોડને જોડતા માર્ગને રિસર્ફેસિંગ કરવા આગામી તા.5 જૂન સુધી આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે.જે અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા અમલી બનાવી આ સમયગાળા દરમિયાન ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવી છે. જેથી ગોંડલ તરફથી આવતા ભારે વાહનોને ભાવનગર-અમદાવાદ તરફ જવા માટે રાજકોટ ગોંડલ ચોકડી, નેશનલ હાઇવે થઇ આજી ડેમ ચોકડીથી ભાવનગર રોડ તેમજ ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ તરફ જઈ શકશે. આ ઉપરાંત નવા રિંગ રોડ પર આવેલ કોઠારિયા, લાપાસરી, વડાળી અને કાળીપાટ ગામથી આવતા નાના વાહનો માટે પણ જે સ્થળે કામગીરી ચાલતી હોય તેવા સ્થળોએ કેટલાક દિવસો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે.
એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન:શિવરાત્રિના મેળામાં જવા 3.70 લાખ શ્રદ્ધાળુ માટે એસટી 195 બસ દોડાવશે
ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST)એ આયોજન કરીને કુલ 195 વધારાની બસ ફાળવી છે, જે આશરે 7800થી વધુ ટ્રિપ દ્વારા આશરે 3.70 લાખ મુસાફરને મંજિલ સુધી પહોંચાડશે. ગત વર્ષે મહાશિવરાત્રિ મેળા દરમિયાન 2.91 લાખ મુસાફરે એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો. આ વર્ષે શ્રદ્ધાળુઓનો ધસારો વધવાની શક્યતાને જોતા તંત્રએ 3.70 લાખથી વધુ મુસાફરને સુવિધા પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી (ભવનાથ) સુધી જવા-આવવા માટે દૈનિક 80 વધારાની બસનું ખાસ સંચાલન કરવામાં આવશે. રાજ્યના અન્ય ભાગોમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસ દોડાવવામાં આવશે. તમામ બસનું જીપીએસ (GPS) દ્વારા 24 X 7 સતત ટ્રેકિંગ કરવામાં આવશે.
મોરબીના રવાપર વિસ્તારની સરવે નં.108ની 5 એકર જમીન જેની બજાર કિંમત 40 કરોડથી વધુની થાય છે. આ જમીન રવા વસ્તા દલવાડીના નામે આવેલી છે. આ વ્યક્તિ હયાત ન હોવાથી કૌભાંડીઓની નજર આ જમીન પર પડી હતી. યેનકેન પ્રકારે જમીન હડપવા પ્રયાસ થયા હતા. તે પૈકી રાજકોટના શિવનગરમાં રહેતા અજયસિંહ ભરતસિંહ જાડેજા અને કોટડાસાંગાણીના બગદડિયા ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુ જેસિંગ જાદવના નામે આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. દસ્તાવેજમાં રવા વસ્તા દલવાડીની સહી હતી. અન્ય વ્યક્તિને ઊભી કરી દસ્તાવેજ કરી નોંધ પાડી દીધી હોવાનું કૌભાંડ હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. જેને લઈને તત્કાલીન કલેક્ટર જી.ટી. પંડ્યાએ તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાંત અધિકારીએ દસ્તાવેજની નોંધ રદ કરી હતી. જેથી અજયસિંહ અને રાજેશ અપીલમાં ગયા હતા. જેથી કલેક્ટરે આ દસ્તાવેજની નોંધનો કેસ તેમજ અન્ય બે જૂથ દ્વારા વારસાઈ અને વસિયતથી જમીન મેળવવાના પ્રયાસનો કેસ પણ એકસાથે ચલાવ્યો હતો. આ દરમિયાન પંડ્યાની બદલી થતા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીએ કેસ ચલાવી દસ્તાવેજની નોંધ તેમજ બીજા પ્રયાસોની નોંધ રદ કરવાનો હુકમ કાયમ રાખ્યો છે અને 13 અને 10 પેજના બે હુકમ કર્યા છે. જિલ્લા કલેક્ટરે ખાસ નોંધ કરી છે કે, રવા વસ્તા દલવાડીએ આ જમીન 1961માં ખરીદી હતી અને તે રેકર્ડ મુજબ ખરીદનારની ઉંમર 82 વર્ષ લખી છે જ્યારે 2022માં રવા વસ્તા દલવાડી નામની વ્યક્તિએ જમીન વેચી તો તેણે ઉંમર 75 વર્ષ લખાવી છે. ઉપરાંત વારસદારો હોવા અંગેના પણ તથ્ય આધીન પુરાવા મળ્યા નથી અને તે અંગેનો કોર્ટ કેસ ચાલે છે તેથી અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવાપાત્ર થતી નથી અને આખરે જમીન ફરીથી રવા વસ્તા દલવાડીના નામે ચાલી રહી છે. જમીન કૌભાંડ કરવા નકલી કાગળો ઊભા કર્યા તે સાબિત થયું છતાં હજુ પોલીસ ફરિયાદ લેતી નથી!રવા વસ્તા દલવાડીની જમીન હડપ કરવા માટે જે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તે દસ્તાવેજ જ કૌભાંડની સાબિતી છે. જ્યારે રવા વસ્તાએ આ જમીન ખરીદી હતી તે સમયે પોતાની ઉંમર 82 વર્ષ લખાવી હતી અને તે ત્યાંના જ રહેવાસી બતાવ્યા હતા. જ્યારે 2022માં અજયસિંહ અને રાજુએ દસ્તાવેજ કરાવ્યો ત્યારે જે વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં રવા વસ્તા દલવાડી કહ્યું છે તેની ઉંમર 75 બતાવી છે. જો રવા વસ્તા જમીન ખરીદતી વખતે 19 વર્ષના હોય તો પણ તેમની ઉંમર 2022માં 80થી વધુ થાય. 82 વર્ષના વૃદ્ધની ઉંમર 61 વર્ષ પછી 143 થાય! આ રીતે જોતા સ્પષ્ટ છે કે રવા વસ્તાને બદલે અન્ય કોઇના નકલી નામ અને કાગળો બનાવી જમીનનો દસ્તાવેજ કરાયો છે. આ મામલે પણ પોલીસમાં અરજી અપાઈ છે અને પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે. જિલ્લા કલેક્ટરના હુકમમાં પણસાબિત થાય છે કે આ દસ્તાવેજ કરવા માટે નકલી વ્યક્તિ, નકલી કાગળો ઊભા કરાયા છે તેથી છેતરપિંડી, સરકારી ડોક્યુમેન્ટબનાવવા સહિતની ભારે કલમો હેઠળ ગુનો નોંધવા પાત્ર છે છતાં પોલીસ આ મામલે હજુ પણ કાર્યવાહી કરી રહી નથી.
સિટી એન્કર:અમીનમાર્ગ અને વેસ્ટ ઝોન કચેરીના કોર્નર પર બનશે ફૂટ બ્રિજ
મંગળવારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બજેટ બેઠકમાં ફૂટ ઓવરબ્રિજનો મુદ્દો ઉપસ્થિત થતાની સાથે જ કોર્પોરેશને શહેરના નાગરિકોની સલામતી તથા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે 24 કલાકમાં જ મહત્ત્વનો નિર્ણય લઈ 150 ફૂટ રિંગ રોડ ઉપર અમીનમાર્ગના ખૂણે તેમજ મનપાની વેસ્ટઝોન કચેરીના કોર્નર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બે આધુનિક ફૂટઓવર બ્રિજ બનાવવાનું જાહેર કર્યું છે. બન્ને ફૂટ ઓવરબ્રિજ માટે 18 માસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. રાજકોટ કોર્પોરેશને શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અમીનમાર્ગના ખૂણે તેમજ વેસ્ટઝોન કચેરીના કોર્નર ખાતે પીપીપી મોડલથી રૂ.10.17 કરોડના ખર્ચે બે ફૂટ ઓવરબ્રિજ નિર્માણ કરવા નક્કી કર્યું છે જેની સમયમર્યાદા 18 માસ રાખવામાં આવી છે. ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરનાર પેઢીને મનપા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 22 સ્થળે જાહેરાતના અધિકાર આપશે, જેમાં કુલ આશરે 6600 ચો.ફૂટ જેટલી જાહેરાત જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે.એજન્સીએ બંને બ્રિજનું 15 વર્ષ સુધી મેન્ટેનન્સ પણ કરવાનું રહેશે. બન્ને ફૂટઓવર બ્રિજમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને મહિલાઓને સરળ આવાગમન માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિજ નિર્માણથી નાગરિકોની સલામતીમાં વધારો થશે. આ માટે લેવાયો નિર્ણય :અમીનમાર્ગ કોર્નર પર લોકો જોખમી રીતે બીઆરટીએસ કૂદી રસ્તો ઓળંગતા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર કેકેવી સર્કલથી મનપાની વેસ્ટઝોન કચેરીના કોર્નર સુધી બીઆરટીએસ રૂટના કારણે એકપણ સ્થળે ચાલીને રસ્તો ક્રોસ થઇ શકે તેવી વ્યવસ્થા ન હોવાથી અમીનમાર્ગ કોર્નર પાસે લોકો જોખમી રીતે બીઆરટીએસની રેલિંગ ઓળંગી રસ્તો ક્રોસ કરતા હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો પણ બન્યા છે ત્યારે ફૂટ ઓવરબ્રિજથી નાગરિકોની સમસ્યા હલ થવાની સાથે જ ટ્રાફિક પણ સુગમ બનશે. બિગબજાર પાસે ફોરેન સ્ટાઇલ ઓપન શોપ બનશેમનપા દ્વારા અમીનમાર્ગ કોર્નર અને મનપાની વેસ્ટઝોન કચેરી પાસે બે ફૂટ ઓવરબ્રિજ નિર્માણ કરવાનું નક્કી કર્યું છે જેમાં વેસ્ટઝોન કચેરી પાસે અત્યંત આધુનિક ફૂટ ઓવરબ્રિજ નિર્માણ થશે જેમાં ફોરેન સ્ટાઇલ દસ જેટલી ઓપન શોપ્સનું નિર્માણ કરવામાં આવશે અને ટેન્ડરની શરતો મુજબ પીપીપી ધોરણે ફૂટ ઓવરબ્રિજ નિર્માણ કરનાર પેઢીને આ શોપ્સનું સંચાલન સોંપી આર્થિક ઉપાર્જન માટે તક આપવામાં આવશે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:નેક્સસના માલિકે 4 વર્ષથી 75 લાખનો વેરો જ ચૂકવ્યો નથી
રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલા નેક્સસ બિલ્ડિંગમાં સ્ટેટ હાઈવે ઓથોરિટીના રિબન રૂલ્સનો ભંગ કરી ગેરકાયદે બાંધકામ, જીડીસીઆરનો ભંગ કરી ગેરકાયદે 12મો માળ અને સીડી, ફાયર એનઓસી સહિતના અનેક ગોટાળા થયા છે. આમ છતાં મ્યુનિસિપલ કમિશનર તેમજ ટી.પી.ઓ. કાર્યવાહીના નામે ફાઈલ દબાવી રાખવી અને અભિપ્રાય માગીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન બીજી એ હકીકત સામે આવી છે કે, આ કોમ્પ્લેક્સનો છેલ્લા ચાર વર્ષનો 75 લાખ રૂપિયાનો વેરો બાકી છે આમ છતાં મનપાની ટેક્સ બ્રાન્ચમાંથી કોઇ કાર્યવાહી થઈ નથી. સામાન્ય દુકાનધારક હોય તો 25000 વેરા બાકીમાં પણ સીલ લગાવી દેવાય છે અને અહીં મસમોટાં શો-રૂમ અને ઓફિસના કોઇના 3 લાખ રૂપિયા કરતા વધુ રકમ બાકી છે છતાં કોઇ કાર્યવાહી થઈ નથી. હાલ મનપા આવક વધારવા માટે વ્યાજમાફી સહિતના હથકંડા અપનાવી રહી છે તેવામાં એક જ બિલ્ડિંગનું આટલું મોટું બિલ બાકી હોય અને કોઇ કાર્યવાહી ન થાય તે સાબિત કરે છે કે, મનપાને કાયદેસર વેરો ભરતા કરદાતા કરતા વેરો ન ભરતા હોય અને નિયમભંગ કરનારા જ વધુ પસંદ આવી રહ્યા છે. વેરો કેટલો બાકી છે તે હવે સામે આવતા જોવાનું એ રહ્યું કે ક્યારે વેરાની વસૂલાત થાય છે અને સીલની કાર્યવાહી થાય છે. આ છે વેરા નાખવાની સિસ્ટમ:બિલ્ડિંગ બની ગયું એટલે મિલકત વેરો ચાલુ, વિવાદ થાય તો સેટેલાઈટ ઈમેજ કે વીજબિલ આધારકોઇપણ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જાય ત્યારથી જ તેની આકારણી થઈ જાય અને તે વર્ષથી જ વેરો ભરવાનો થતો હોય છે. આ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટની તારીખ બિલ્ડર દ્વારા અપાતી હોય છે અને કમ્પ્લીશન ન મળે અથવા તો એવું લાગે કે તે સર્ટિફિકેટ મોડું લેવાયું છે તો મનપાની ટેક્સ બ્રાન્ચ વીજ કનેક્શનની તારીખ મેળવે છે. ત્યારથી આકારણી ગણાય છે છતાં જો કોઇ વિવાદ ઉપસ્થિત થાય તો તે સ્થળના સેટેલાઈટ ઈમેજ પણ મેળવવામાં આવે છે. બિલ્ડિંગનો ઉપયોગ શરૂ થયાનું સાબિત થાય ત્યારથી વેરો ગણવાનું શરૂ થઈ જાય છે. નેક્સસના કિસ્સામાં 2021થી જ આકારણી કરવામાં આવી છે હકીકતે તે વર્ષે તો નેક્સસનો ચોથી વાર પ્લાન રજૂ કરાયો, તે પહેલાથી બિલ્ડિંગ ઊભું છે. કોર્પોરેશન આ પ્રમાણે કરી શકે સીલની કાર્યવાહીમિલકત સીલ માટે મનપાના નિયમો સ્પષ્ટ છે. જે મિલકતનો વેરો 1 લાખથી વધુનો હોય ત્યાં રિકવરી ઓફિસરે કરવી પડે. ખાસ કરીને નેક્સસ જેવા બિલ્ડિંગમાં કે જ્યાં એક જ સ્થળે ઘણી કોમર્સિયલ પ્રોપર્ટી આવેલી હોય. એક લાખથી વધુનો વેરો બાકી હોય તો સૌથી પહેલા ટેક્સ બ્રાન્ચ તેને બિલની બજવણી કરે છે અને વેરો ભરવાનું કહે છે. બજવણીના 15 દિવસ બાદ જીપીએમસી એક્ટની કલમ 45(1) મુજબ વોરંટ કાઢવાનું હોય છે. વોરંટ કાઢ્યા બાદ 7 દિવસમાં બિલ ભરવામાં ન આવે તો પ્રોપર્ટીને સીલ કરાય છે અને સીલ કર્યા બાદ વેરો ન ભરાય તો તેની હરાજી કરીને વસૂલાત કરી શકાય છે. આ ઉપરાંત જાન્યુઆરીથી માર્ચ માસને રિકવરી પિરિયડ ગણવામાં આવે છે. આ સમયે ટેક્સ બ્રાન્ચ નોટિસ કાઢીને 20 હજાર રૂપિયાની રકમ બાકી હોય અને ચાલુ વર્ષ અને પાછલા વર્ષનો વેરો બાકી હોય તો તેને પણ ગમે ત્યારે સીલ કરી શકાય છે તેવું ટેક્સ બ્રાન્ચના નિષ્ણાતો કહી રહ્યા છે. ડબલ વેરો ભરવો ન પડે તે માટે બાકિરે તમામ પ્રોપર્ટી પેઢીના નામે જ રાખીમનપાના નિયમ મુજબ દરેક મિલકતનો મિલકત વેરો નિશ્ચિત હોય છે. જોકે કોમર્સિયલ મિલકતને ભાડે આપવામાં આવે તો તે મિલકતનો વેરો બમણો લેવાનો હોય છે. નેક્સસ બિલ્ડિંગમાં અનેક શો-રૂમ અને ઓફિસ તેમજ અન્ય ધંધાઓ શરૂ થઈ ગયા છે. પણ, વેરા બિલ ચકાસવામાં આવતા તેમાં બાકિર ગાંધીની પેઢીનું જ નામ છે. જો મનપાને જાણ કરીને પ્રોપર્ટી લીઝ પર આપેલી છે તેમ નોંધવામાં આવે તો બમણો વેરો થઈ જાય તેથી હજુ સુધી એકપણ પ્રોપર્ટીને ભાડે બતાવી જ નથી. આ કારણે જ્યારે પણ રિકવરી ઈન્સ્પેક્ટર ત્યાં જાય અને ભાડૂઆત હોય તો સીધા જ વેરો બમણો કરવાની કાર્યવાહી થાય અને તે જોતા એક જ બિલ્ડિંગનો 1 કરોડથી વધુનો વેરો થાય. આ માટે મનપાએ તપાસ કરાવવાની રહી કે ખરેખર ત્યાં કેટલા શો-રૂમ ભાડે આપેલા છે અને ક્યારથી આપેલા છે. આ માટે વીજ કનેક્શનની તારીખનો સહારો લેવો કે પછી ભાડે કે લીઝ પર જેણે જગ્યા રાખી છે તેની પાસેથી કરાર મેળવવા પડે.
વેપારીએ ધંધા માટે વ્યાજે લીધેલા રૂ.2.50 કરોડ સામે રૂ.20 કરોડની મિકલત લખાવી લઈ બારોબાર વેચી દેનાર કુખ્યાત વ્યાજખોર ઓમપ્રકાશ પંજાબીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ઓમપ્રકાશ પંજાબી અમદાવાદના ડોન લતીફનો ભાગીદાર હતો. ઓમ પ્રકાશના પૈસાની ઉઘરાણીના ત્રાસથી કંટાળીને 6 વર્ષ પહેલાં એક વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ઓમપ્રકાશે લકી ડ્રોના નામે 1800 મેમ્બરની ચેઈન બનાવી લાખોનું કૌભાંડ કર્યું હતું. ગુરુકુલમાં રહેતા અને બિલ્ડિંગ મટિરિટલનો ધંધો કરતા હેમાંગ શાહને ધંધામાં પૈસાની જરૂર હોવાથી ઓમપ્રકાશ પંજાબી અને જીમી સતીષ અસીજા પાસેથી રૂ.2.50 કરોડ દોઢ ટકા વ્યાજે ઉછીના લીધા હતા. જેની સામે હેમાંગભાઈએ વ્યાજ-મૂડી સાથે રૂ.4.77 કરોડ ચૂકવ્યા છતાં હેમાંગભાઈએ ગીરવે મુકેલી 15થી 20 કરોડની બજાર કિંમતની મિકલત બારોબાર વેચી દીધી હતી. આ બંને જણાં હેમાંગભાઈના પરિવારનું અપહરણ કરવાની, મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી હેમાંગભાઈએ બંને સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરતા પોલીસે ઓમપ્રકાશ પંજાબીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાગીદાર ઓમપ્રકાશ પંજાબી લતીફના એન્કાઉન્ટ બાદ વ્યાજ વટાવનો ધંધો શરૂ કર્યો હતો. ઓમપ્રકાશે વર્ષ 2000માં રોબિન્સન ઈન્સેકસ ઈન્ડિયા લિ. કંપનીની આડમાં લકી ડ્રોના નામે લોકોના કરોડોનો ફાંદો કર્યો હતો. જેમાં તે 24 વર્ષથી ફરાર હતો. માર્ચ 2024માં સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી હતી. ઓમપ્રકાશ પંજાબીના પૈસાની ઉઘરાણીના ત્રાસથી આનંદનગરના વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતીઆનંદનગર સફલ પરિવેશમાં રહેતા કેમિકલના ધંધાર્થી સુશીલકુમાર ટીબડેવાલ(62)એ ઓમ પ્રકાશ પંજાબી પાસેથી 5 ટકા રૂ.20 લાખ લીધા હતા. જેની સામે રૂ.1 કરોડ ચૂકવવા છતાં ધમકી આપી વધુ રૂપિયાની માગણીથી કંટાળી સુશીલે ફ્લેટના ધાબેથી આપઘાત કરી લીધો હતો.
26મીથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ રોકવા બોર્ડે ‘સર્જિકલ સ્ટ્રાઇક’ જેવી તૈયારી કરી છે. પ્રશ્નપત્રોની સુરક્ષા મુદ્દે પ્રિન્સિપાલ કે સિનિયર શિક્ષક બેદરકારી દાખવશે અથવા સમય કરતાં વહેલાં પ્રશ્નપત્રોનું પેકેટ ખોલશે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરાશે. આટલું જ નહીં, શિક્ષાત્મક પગલાં રૂપે એક વર્ષનો ઇજાફો પણ અટકાવી દેવાશે. બોર્ડે આદેશ આપ્યો છે કે સીસીટીવી કૅમેરાની નજર હેઠળ અને 2 વિદ્યાર્થીની સાક્ષીમાં જ પ્રશ્નપત્રનાં પેકેટો ખોલવાં પડશે. ખાનગી શિક્ષક દોષિત જણાશે તો તેને રૂ. 10 હજાર સુધીની પેનલ્ટી ફટકારાશે. કોઈ પાણીવાળા કે સફાઈ કામદાર કાપલીની હેરાફેરી કે ગેરરીતિમાં મદદ કરતાં પકડાશે તો તાત્કાલિક અસરથી કામગીરીમાંથી દૂર કરી મહેનતાણું અટકાવાશે. પટાવાળા ઉત્તરવહી બહાર લઈ જશે તો પોલીસ કાર્યવાહી કરાશે. બેદરકારી દાખવનાર શિક્ષકને રૂ. 100નો દંડ અને 3 વર્ષ માટે સસ્પેન્શન, નિરીક્ષકની હાજરીમાં માસ કોપી કેસ થશે કે વિદ્યાર્થી પાસેથી સાહિત્ય મળશે તો તે શિક્ષકને કાયમી પરીક્ષાની કામગીરીથી દૂર કરી દેવાશે. આન્સર બુક તપાસવામાં ભૂલ કરનાર કે ઇરાદાપૂર્વક ગુણ આપનાર પ્રિન્સિપાલ-શિક્ષકને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી ભૂલ દીઠ રૂ. 100 કાપવામાં આવશે. પ્રશ્નપત્રની મુસાફરીનું ‘લાઈવ ટ્રેકિંગ’ કરાશેપ્રશ્નપત્રોની સુરક્ષા માટે આ વખતે ટૅક્નોલોજીનો લોખંડી પહેરો ગોઠવાશે. સ્ટ્રોંગ રૂમથી ગાડી રવાના થાય, પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને વર્ગખંડમાં પેપરનું પેકેટ ખોલવામાં આવે ત્યાં સુધીના દરેક તબક્કાના લાઇવ ફોટો પાડી બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવા પડશે. બોર્ડના લાઇવ મૉનિટરિંગની સાથે પોલીસ પણ શહેરના સીસીટીવી નેટવર્ક દ્વારા પેપરના રૂટ પર નજર રાખશે.
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઈસીએમએઆઈ), અમદાવાદ ચેપ્ટરની ડિસેમ્બર, 2025ની પરીક્ષાનું સીએમએ ઇન્ટર પરિણામ જાહેર કરાયું છે. સીએમએ ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ ચેપ્ટરના ચૅરમૅન મિતેષ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરનું અમદાવાદ ચેપ્ટરનું ઇન્ટરનું 37 ટકા પરિણામ જાહેર થયું છે, જે જૂન, 2025ના 27.55 ટકાની તુલનાએ 9.45 ટકા વધુ છે. ડિસેમ્બર, 2025નું અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનું 37.07 ટકા પરિણામ આવ્યું છે, જે જૂન, 2025ના 23.08 ટકાની તુલનાએ 13.99 ટકા વધારે આવ્યું છે. એ જ રીતે ઇન્ટરમીડિયેટ ઓલ ઇન્ડિયા લેવલનું ડિસેમ્બરનું પરિણામ 28.48 ટકા આવ્યું છે, જે જૂનના 18.67 ટકાની તુલનાએ 9.81 ટકા વધારે આવ્યું છે. જ્યારે ફાઇનલનું ડિસેમ્બરનું ઓલ ઇન્ડિયા લેવલનું 30.32 ટકા પરિણામ આવ્યું છે, જે જૂનના 21.34 ટકાની તુલનાએ 8.98 ટકા વધુ આવ્યું છે. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જૂન, 2025ની તુલનાએ અનુક્રમે 9.45 ટકા અને 13.99 ટકા (આશરે 14 ટકા)નો વધારો જોવા મળ્યો છે. 4 વર્ષની 9 સેશનની પરીક્ષાનાં પરિણામોની તુલના કરીએ તો ઇન્ટરમાં સરેરાશ 17 ટકા અને ફાઇનલમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ચેપ્ટરના રેન્કર વિદ્યાર્થીઓ ફાઇનલના ટોપર્સ ઇન્ટરમીડિયેટના ટોપર્સ ઉત્તર લખવાની પ્રેક્ટિસને કારણે પરિણામ સુધર્યુંઇન્ટરમીડિયેટનું આશરે 17 ટકાથી વધુ જ્યારે ફાઇનલનું 16 ટકા વધારે આવ્યું છે. પરિણામમાં વધારો થવા પાછળ અનેક કારણો છે. ઇન્સ્ટિટટ્યૂટ દ્વાર પ્રત્યેક ચેપ્ટરના પ્રશિક્ષણ બાદ લેવાતી રેગ્યુલર પ્રેક્ટિસ એક્ઝામ, છેલ્લાં કેટલાંક વર્ષોથી જવાબ લખવાની પ્રેક્ટિસ, પ્રશ્નોના ઓવરઓલ જવાબ કેવી રીતે લખવા તેની સઘન તાલીમ, પેપર સ્ટાઈલને કેન્દ્રમાં રાખીને યોગ્ય દિશામાં અપાયેલી તાલીમથી પરિણામમાં વધારો થયો છે. > મિતેષ પ્રજાપતિ, ચૅરમૅન, સીએમએ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ચેપ્ટર
અમદાવાદ ઍમ્બ્રૉઇડરી ઍસોસિયેશન દ્વારા રાજ્ય સરકારના બજેટ પહેલાં ઍમ્બ્રૉઇડરીના બિઝનેસને બચાવવા માટેની માગ કરાઇ છે. હાલમાં શહેરમાં 50 હજાર ઍમ્બ્રૉઇડરીનાં મશીન છે, જેના દ્વારા 1.50 લાખ લોકોને રોજગારી મળે છે, પરંતુ એક સમયે ઍમ્બ્રૉઇડરીથી 7 લાખથી વધુ લોકો રોજગારી મળવતા હતા. માર્કેટમાં માગ ઘટતાં અને અન્ય દેશો સાથેની સ્પર્ધાને કારણે શહેરમાં ઍમ્બ્રૉઇડરીનો બિઝનેસ ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારના બજેટમાં આ બિઝનેસને બચાવવા માટે ખાસ પેકેજની સાથે સબસિડી જાહેર કરવાની માગ છે. ઍસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ બાંગ્લાદેશ પર ટેક્સટાઇલમાં શૂન્ય ટેરિફ જાહેર કર્યો છે. જેની અસર આપણે ત્યાં આવનારા 6 મહિનામાં જોવા મળશે. આપણે ત્યાંથી દક્ષિણ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે પણ સારો બિઝનેસ ચાલતો હતો પરંતુ હવે તેના પર પણ અસર થશે. આ ઉપરાંત અત્યાર મોટા ભાગનાં મશીનો રહેઠાણ વિસ્તારોમાં ચાલે છે. આથી ઘણી વાર સ્થાનિકો સાથે ઘર્ષણ ઊભું થાય છે. તેથી અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે શહેરના કોઈ પણ બહારના વિસ્તારમાં અમને એક ખાલી પ્લોટ આપવામાં આવે. જેથી આ સ્થળે એક સાથે બિઝનેસ કરી શકાય. સાથે જ વીજળી અને અન્ય સુવિધાઓમાં પણ સરકારી સબસિડી મળી રહે તો સંચાલકોને ફાયદો થાય. ઍમ્બ્રૉઇડરી ઉદ્યોગમાં રોજગારી મેળવતી મહિલાઓનો મોટો વર્ગઍમ્બ્રૉઇડરીમાં રોજગારી મેળવતી મહિલાનો મોટો વર્ગ છે, જેથી આ બિઝનેસ બંધ થતાં મહિલાઓની રોજગારી પર મોટી અસર થઈ રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે લોકો ઍમ્બ્રૉઇડરી સાથે જોડાયા છે અને મોટાં રોકાણ પણ કર્યાં છે. વધારે કામ મેળવવા આધુનિક મશીનોની જરૂર પડે છે, જે આયાત કરવાં પડે છે. આ સ્થિતિમાં રોકાણ વધી જાય છે. જો સરકાર આ બજેટમાં અલગ જાહેરાત કરે તો નવા લોકોને રોજગારી મળશે અને હાલના લોકોની રોજગારી ટકી રહેશે. > દલસુખભાઇ પટેલ, પ્રમુખ, ઍમ્બ્રૉઇડરી ઍસોસિયેશન ઍસોસિયેશને સરકારને આટલી માગણીઓ કરી
ઠગાઈ:ટ્રેડિંગથી વધુ નાણાં કમાવાની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી 53 લાખ પડાવ્યા
‘ખેડૂતો અને નિવૃત્ત વ્યક્તિઓ ટ્રેડિંગ કરી વધુ પૈસા કમાઈ શકે છે, તેવી યુ ટયુબ સહિત સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકી સાઈબર ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી રૂ.53.70 લાખ પડાવી લીધા બાદ પૈસા વિડ્રો કરવા જતા જુદા જુદા ચાર્જ, ડેકલેરેશન ફીના વધુ પૈસાની માગણી કરી હતી. ચાંદખેડા ન્યૂ કમલકુંજ સોસાયટીમાં રહેતા ભરતકુમાર પરમાર(61) 11 ડિસેમ્બર 2025એ યુ ટ્યુબમાં ટ્રેડિંગમાં ભાગ લેવાનો વીડિયો જોયો હતો. જેમાં ખેડૂત, નિવૃત્ત વ્યક્તિ કેવી રીતે ટ્રેડિંગ કરી વધુ પૈસા કમાઈ શકે છે. તેમાં રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે, તેવી જાહેરાત જોઈ ભરતકુમારે ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નામ, સરનામુ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાનકાર્ડ, આધાર કાર્ડની માહિતી ભરી હતી. ત્યારબાદ કુંતમ એઆઈ કંપનીના મેનેજર અભિષેક ત્રિપાઠીની ઓળખ આપી 30 મિનિટ કરેલી વાતમાં તેણે કહ્યું, તમારે કુંતમ એઆઈ ના સોલ્યુશન ટ્રેડિંગ પ્લેટફોર્મમાં જોઈન્ટ થઈ ઈન્વેસ્ટ કરવા માગતા હોવ તો રૂ.2107 ભરવા પડશે. જો કે ભરતકુમાર સંમત થતા તેમને ટ્રેડિંગની લિંક મોકલી હતી. સાઈબર ગઠિયાઓએ 35 હજાર લોકો પાસેથી રોકાણના નામે સૌથી વધુ 700 કરોડ ખંખેર્યા છે2025ના વર્ષમાં સાઈબર ગઠિયાઓએ ગુજરાતના 1.72 લાખ લોકોને શિકાર બનાવી રૂ.1400-1500 કરોડ પડાવ્યા હતા. આ ઘટનાઓમાં ડિજિટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, નોકરી ફ્રોડ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે. તેમાં પણ સૌથી વધુ 35 હજાર લોકો પાસેથી સાઈબર ગઠિયાઓ ઈન્વેસ્ટમેન્ટના બહાને રૂ.700 કરોડ પડાવી લીધા હતા.
મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાં બનાવેલા ઓન રોડ પાર્કિંગ પર ખાલી જ હશે તો પાર્કિંગ એપ્લિકેશન પર બતાવશે. જેથી કારચાલકોએ ખાલી પાર્કિંગ શોધવા માટે ફરવું નહીં પડે. નવી ટેકનોલોજીથી એક કેમેરાથી 10 વાહનોની એક સાથે પાર્કિંગની સ્થિતિ જાણી શકાશે તેવા કેમેરા દરેક પાર્કિંગમાં લગાવાશે. પે એન્ડ પાર્કમાં જગ્યા ખાલી છે કે નહીં તે જાણી શકાશે. 8 મલ્ટિલેવલ પાર્કિંગ, 43 ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, 56 ઓન સ્ટ્રીટ પાર્કિંગ, 28 અંડર બ્રિજ લોકેશન સહિત 135 જગ્યાના 8 હજારથી વધુ પાર્કિંગ સ્લોટનું લાઇવ મોનિટરિંગ જોઇ શકાશે. પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું છે ત્યારે ‘સ્માર્ટ’ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
ધો. 10, 12ની બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, સાથે વિદ્યાર્થીઓના તણાવમાં પણ વધારો થઈ રહ્યો છે. શાહીબાગમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રમાશંકર યાદવ જણાવે છે કે, તણાવ, અનિદ્રા જેવી સમસ્યા સાથે આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. સરકારી, ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય દિવસો કરતાં ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં આ સંખ્યા બમણી થઈ જાય છે. હાલ રોજ સરેરાશ 6 વિદ્યાર્થી આવે છે. કિસ્સો : 1ટ્યૂશનની પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાર્થિની વસ્તુઓ ફેંકવા લાગીધો.10ની વિદ્યાર્થિની ટ્યૂશનમાં એક વિષયની પરીક્ષામાં નાપાસ થઈ એટલે પરિવારજનો સાથે ઝઘડો કરીને ઘરમાં વસ્તુઓ ફેંકવા લાગી. તેને ગભરામણ, રડવું આવે, માથું દુખવું, ચક્કર આવવા, ઊંઘ ન આવવી જેવી તકલીફ થવા લાગી હતી. તેને નાપાસ થવાના અને આપઘાત કરવા જેવા વિચારો આવતા હતા. અંતે પરિવારે ડોક્ટર પાસે નિદાન કરાવીને સારવાર શરૂ કરાવી છે. કિસ્સો : 2રીલ જોતો હોવાથી વિદ્યાર્થી પરિવાર સાથે ઝઘડ્યો, બેભાન થવા લાગ્યોધો.12 સાયન્સના એ ગ્રૂપના વિદ્યાર્થીને રીલ જોવાની લત લાગી હતી. જ્યારે પરિવારજનો અભ્યાસ પર ભાર મૂકવા કહે તો તે ઝઘડા કરવા લાગ્યો. વારંવાર ઝઘડા થતાં તેને માથામાં દુખાવો, ચક્કર આવવા અને રડતાં રડતાં બેભાન થવાની સમસ્યા થવા લાગી હતી. વિદ્યાર્થી હતાશા અને નિરાશામાં જતો રહેતા અંતે ડોક્ટરની સારવાર લેવાની ફરજ પડી હતી. કિસ્સો : 3પૂરતી ઊંઘ ન લેતાં સાયકોસીસ થયો, હવે પરીક્ષા આપશે જ નહીં12 સાયન્સ (બાયોલોજી)ની વિદ્યાર્થિની મોડી રાત સુધી વાંચતી હોવાના લીધે તેની ઊંઘ પૂરી થતી ન હતી. તેને પરીક્ષાની ચિંતામાં દિવાળી બાદ સાયકોસીસ થતાં તેને અને પરિવારને કોઈ મારી નાખશે તેવા ડરથી ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું. સતત રડતી હતી, 3 મહિના સુધી વાંચી ન શકી. હવે આ વર્ષે પરીક્ષા નહીં આપવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીએ પૂરતી ઊંઘ લેવી જોઈએબોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું ટેન્શન લેવાની જરૂર નથી. પરીક્ષાની તૈયારી વખતે પૂરતી ઊંઘ લેવી, યોગ્ય ખોરાક લેવો, વ્યસનથી દૂર રહેવું, નિયમિત વાંચન કરવંુ. સમજાય નહીં તેવા વિષયો મામલે શિક્ષકોની સલાહ લેવી. કોઈ માનસિક-શારિરીક ફરિયાદ હોય તો યોગ્ય સારવાર લેવી જોઈએ. - ડો.ઋષિરાજ જોશી, મનોચિકિત્સક
RTIમાં ઘટસ્ફોટ:મ્યુનિ.માં રોડ, પાણી અને ગટર જોડાણ, વ્યાજની આવક સહિતના હિસાબોની 483 ફાઇલ ગાયબ
શહેરમાં છેલ્લાં પાંચ વર્ષમાં મ્યુનિ.ના ઓડિટ વિભાગને વિવિધ વિભાગોએ 483 જેટલી વિવિધ કામગીરીના ખર્ચને લગતી ફાઇલો આપી જ નથી. આ ફાઇલો અંગે ઓડિટ વિભાગ દ્વારા વારંવાર માગણી કરવામાં આવી હોવા છતાં પણ આ ઓડિટ ફાઇલ પૂરી પાડવામાં આવતી નથી, જેને કારણે આ કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે કોંગ્રેસના લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ અરજીમાં એવી હકીકત બહાર આવી હતી કે, મ્યુનિ.ના ઓડિટ વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કરાયેલી વિવિધ કામગીરીમાં થયેલો ખર્ચ ઓડિટ વિભાગ પાસે સમીક્ષા માટે રજૂ કરવામાં આવતો નથી. તેમાં મોટા ભાગની ફાઇલો ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, ટેક્સ વિભાગની છે. ચોંકાવનારી બાબત એ પણ છે કે, નાણાં વિભાગ દ્વારા મ્યુનિ.ના જમા કરવામાં આવેલી રકમ પર આવેલા વ્યાજ અંગે ઓડિટ વિભાગ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પણ જવાબ આપવામાં આવતો નથી. આ મહત્ત્વનાં કામોના ખર્ચની ફાઇલો અપાઈ નથી કયા વર્ષે કેટલી ફાઇલો ઓડિટ વિભાગને મળી નહિ
શહેરમાં મહિલાઓની ફરિયાદો સાંભળવા માટે પૂર્વ અને પશ્ચિમ એમ બે પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે. જોકે બંને પોલીસ સ્ટેશનોમાં તપાસ અને કાઉન્સેલિંગના નામે મહિલાઓને ધક્કા ખાવા પડે છે. વર્ષ 2025માં મહિલાઓએ નોંધાવેલી કુલ 2712 અરજીઓમાંથી માત્ર 111 એટલે કે 4.09 ટકા ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઘરેલુ હિંસાની 421 અરજી કોર્ટમાં મોકલવામાં આવી છે. બીજી તરફ મહિલાઓ માટેની હેલ્પલાઇન ‘અભયમ’ને પણ 10 મહિનામાં 33855 કોલ આવ્યા છે, જેમાંથી 16592 ઘરેલુ હિંસાના હતા. બંને પોલીસ સ્ટેશનમાં 23 જગ્યા ખાલીબંને મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલથી લઈ ઇન્સ્પેક્ટરની 23 જગ્યા ખાલી છે. રાજ્યમાં 150 પોલીસ સ્ટેશનમાં મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક નથી. 33 ટકા અનામત હોવા છતાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા 16,454 છે, જે કુલ પોલીસના 17% છે. કિસ્સો : 1 - પતિ હાજર થતો ન હતો છતાં મહિનાઓ સુધી ફરિયાદ ન લીધીએક મહિલાએ નવેમ્બરમાં અરજી કરી હતી. મીડિયેશનના નામે સમય પસાર થઈ ગયો. તેનો પતિ અન્ય રાજ્યમાં હતો અને તેણે આવવાની ના પાડી દીધી હોવા છતાં પોલીસે મહિનાઓ સુધી ફોન પર વાતચીત ચાલુ રાખી. છેવટે કમિશનરને રજૂઆત કર્યા બાદ જાન્યુઆરીમાં ફરિયાદ નોંધવામાં આવી. કિસ્સો : 2 - જેઠાણીનું નામ કાઢવા પોલીસ દબાણ કરતી રહી, અંતે ફરિયાદ નોંધવી પડીઅન્ય એક કેસમાં ગત જૂનથી મહિલાની અરજી પેન્ડિંગ હતી. મહિલાએ તમામ પુરાવા આપ્યા હોવા છતાં પોલીસ ફરિયાદમાંથી જેઠાણીનું નામ કઢાવવા દબાણ કરતી રહી. મહિનાઓ સુધી ફરિયાદ નોંધાવવા માટે રજૂઆતો કર્યા બાદ જ્યારે મહિલાએ પોતાના વકીલ અને પરિવારને બોલાવ્યા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી. અમારો ઈરાદો બે પરિવારને જોડવાનો હોય છે માટે સમાધાનનો પ્રયાસ જરૂરીપોલીસ મથકમાં ફરિયાદ કે અરજીના આંકડા મહત્ત્વના નથી. બે પરિવારને જોડતી આ બાબત છે. ઘણી વાર પતિ-પત્નીના ઝઘડામાં બાળક પીસાતું હોય છે ત્યારે કાઉન્સેલિંગ કરીને સમાધાનનો રસ્તો વધુ સારો છે. સમાધાનની પ્રક્રિયામાં પણ મહિલાની મરજી પૂછીને જ આગળ વધીએ છીએ. ત્રણ મુદતમાં કાઉન્સેલિંગ કરાય છે. અંતે કોઈ જ ઉકેલ ન આવે ત્યારે ફરિયાદ નોંધાય છે. માટે અરજી બાદ ફરિયાદમાં વિલંબ થાય છે. અમુક વાર પરિસ્થિતિ જોઈને અમે તાત્કાલિક ફરિયાદ પણ નોંધીએ છીએ. - હિમાલા જોષી, એસીપી ભાસ્કર એક્સપર્ટ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, દરેક કેસમાં સમજાવટ શક્ય નથીસુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, કોઈ અરજી આવે તો સમાધાનનો પ્રયાસ કરવો જોઈએ અથવા તો કોર્ટના મીડિયેશન સેન્ટરમાં મોકલવા જોઈએ. જોકે કોર્ટે આવું નિયમ તરીકે નહીં પણ સૂચન તરીકે ટાંક્યું હતું. પોતાના પોલીસમથકમાં કેસનો રેશિયો ઓછો બતાવવા માટે પોલીસ જાતે જ સમાધાનનો પ્રયાસ કરે છે અથવા કોર્ટના મીડિયેશન સેન્ટરમાં મોકલે છે. આમ 3થી 6 મહિના સુધી અરજીને ફરિયાદ તરીકે ગણવામાં આવતી નથી. ઘણા કેસમાં ફરિયાદ ન નોંધાતા કમિશનરને કે કોર્ટમાં અરજી કરવામાં આવે છે, ત્યાર પછી પોલીસે ફરિયાદ નોંધવી પડે છે. - હર્નિશ રાવ, ધારાશાસ્ત્રી
ગુજરાતના ગામાડાંમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર એક વ્યક્તિ મહિનામાં 33 જીબી ડેટાનો ઉપોયગ કરે છે. જે દેશના મોટા રાજ્યમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં ઇન્ટરનેટ વપરાશકર્તા 2.15 કરોડને પાર થઇ ગયા છે. દેશના ગ્રામીણ વિસ્તારમાં એક વ્યક્તિ સરેરાશ 27 જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે, એટલે કે ગુજરાતના ગામડાંમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં 24% વધુ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. સૌથી વધુ માસિક ડેટાના વપરાશમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં 34 જીબી ઇન્ટરનેટ વપરાશ થાય છે. દેશના ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા 43 કરોડને પાર કરી ગઇ છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં 3.80 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપોયગ કરે છે. દર 100માંથી ગામડાંમાં 60 અને શહેરમાં 99 લોકો ઇન્ટરનેટ વાપરે છે. ગામડાંમાં 3 વર્ષમાં 35 લાખ યુઝર્સ વધી 2.15 કરોડને પારગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 30 લાખ ઇન્ટરનેટ વપરાશકર્તાનો ઉમેરો થયો છે. માર્ચ 2023માં ગુજરાતમાં 1.70 કરોડ ગ્રામીણ ઇન્ટરનેટ યુઝર્સ હતા, જે વધીને ડિસેમ્બર 2025માં 15 ટકા વધીને 2.15 કરોડને પાર થયા છે. દેશમાં પણ આ સમયગાળા દરમિયાન 5 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા વધ્યા છે. ટોપ-5ઃ ગામડાંમાં સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ ગુજરાતમાં 7.50 લાખ 5G વપરાશકર્તા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 7.50 લાખ લોકો 5જી ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ છે. આ મામલે ગુજરાત દેશના ટોપ-10 રાજ્યમાં પણ સામેલ નથી. રાજ્યમાં એરટેલ કરતાં જીઓના 5જી સબસ્કાઇબર્સ વધુ છે. રાજ્યમાં 35,413 મોબાઇલ ટાવર 5જી છે, જે 15 હજારથી વધુ ગામડાંને કવર કરે છે.
2025માં 23.51 લાખ વિદેશી પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, ગયા વર્ષે દેશમાં 2.40 કરોડ વિદેશી પર્યટકો આવ્યા હતા. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 45.30 લાખ વિદેશી મહેમાનો આવ્યા હતા. આ મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. 2022માં ગુજરાત વિદેશી પર્યટકોની બાબતમાં દેશમાં પ્રથમ સ્થાને હતું. હવે 2025માં ચોથા સ્થાને સરકી ગયું છે. 2019થી 2025 દરમિયાન સાત વર્ષમાં ગુજરાતમાં કુલ 7 કરોડથી વધુ વિદેશી પર્યટકો ગુજરાત આવ્યા હતા. જે દેશના 10 નાના રાજ્યની વસ્તી કરતાં પણ વધુ છે. આ આંકડો વિશ્વના 100 દેશોની વસ્તી કરતાં પણ વધુ છે. 2023માં રાજ્યમાં 28.06 લાખ વિદેશી મહેમાન આવ્યા હતા, તે 2024માં ઘટીને 22.74 લાખ થયા હતા અને તે ફરી પાછા 2025માં વધ્યા છે. ગત વર્ષ કરતાં 3.37 ટકા વધ્યા છે. વિદેશી મહેમાનમાં ટોપ-5
દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર ધમધમતા ગોળના કારખાનાઓ (કોલા) આજે જનતાના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. નવસારીના ચીખલી (હરણગામ, ખરોલી, ફડવેલ), વાંસદા (ચાપલધરા) અને સુરતના મહુવા (અનાવલ, આંગલધરા) સહિતના પંથકમાં ચાલતા આ કોલાઓમાં પ્રાકૃતિક ગોળના નામે ખાંડનું મિશ્રણ કરીને લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે. ભાસ્કરની ટીમે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં આ ભેળસેળનો પર્દાફાશ થયો છે. શુદ્ધતાના નામે છેતરપિંડી તમામ કારખાનાઓ બહાર ‘શુદ્ધ નૈસર્ગિક ગોળ’ના મોટા બોર્ડ લગાડવામાં આવ્યા છે, પરંતુ અંદરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગોળ તૈયાર કરવાની ચાસણીમાં મોટા પ્રમાણમાં ખાંડ ઓગાળવામાં આવે છે. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસને કારણે ખાંડ ટાળીને ગોળનો ઉપયોગ કરે છે, તેમના માટે આ ‘ગોળ’ ધીમા ઝેર સમાન સાબિત થઈ રહ્યો છે. આ ભેળસેળિયા ગોળને પાવડર સ્વરૂપે પેક કરીને આધુનિક માર્કેટિંગ દ્વારા લોકોના ગળે વળગાડવામાં આવે છે. ભાસ્કરનો કારીગર સાથેનો સંવાદ:ભાસ્કર : આ શું બનાવો છો?શ્રમિક: ગોળ જ બનાવી રહ્યા છીએ. ભાસ્કર: શું તેમાં ખાંડ નાખો છો?શ્રમિક: હા, શેઠે નાખવાનું કહ્યું છે એટલે નાખીએ છીએ. ભાસ્કર : કેટલી ખાંડ નાખો છો?શ્રમિક: એક ચાસણીમાં બે ડોલ (બાલટી) ખાંડ નાખવી પડે છે. ભાસ્કર : ખાંડ નાખવાથી શું ફાયદો થાય?શ્રમિક: ખાંડ નાખવાથી શેરડીના રસની ચીકાશ ઘટી જાય છે અને ગોળ સ્વાદિષ્ટ (ટેસ્ટી) બને છે. ભાસ્કર : શું બધા જ કારખાનામાં ખાંડ નંખાય છે?શ્રમિક: હા, અત્યારે શેરડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, એટલે ગોળ જમાવવા માટે બધાએ ખાંડ નાખવી જ પડે. અન્ય મહત્વની વિગતો: હલકી કક્ષાનો વેસ્ટ:ઇંધણ તરીકે શેરડીના કૂચા ઓછા પડતા હોવાથી આ કોલાઓમાં સસ્તું ઇંધણ શોધવા માટે હલકી કક્ષાનો કેમિકલયુક્ત વેસ્ટ હોમી દેવામાં આવે છે. નીચી ચીમનીમાંથી નીકળતો આ ઝેરી ધુમાડો સ્થાનિક રહીશોના ફેફસાંમાં ઝેર ભરી રહ્યો છે. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીનો અભાવ: નિયમ મુજબ પરપ્રાંતીય શ્રમિકોની વિગતો પોલીસ ચોપડે નોંધાવવી ફરજિયાત છે, પરંતુ સંચાલકોને કાયદાનો કોઈ ડર નથી. શ્રમિકોના ડેટા રાખવાની પણ તસ્દી લેવાતી નથી. તહેવારો પૂર્વે બજારમાં ભેળસેળિયો ગોળ:તહેવારોની મોસમમાં ગોળની માંગ વધતા વેપારીઓ દ્વારા કેમિકલ અને ખાંડવાળો ગોળ મોટા પાયે બજારમાં ઠાલવી દેવામાં આવ્યો છે. આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે તે મોટો સવાલ છે. તંત્રની મિલીભગત કે બેદરકારી?:ધુમાડો ઓકતી ચીમનીઓ અને પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડાડતા એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. અગાઉ અકસ્માતો થયા હોવા છતાં ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે.
પોલીસ દ્વારા સરાહનીય કામગીરી:પોરબંદરમાં ખોવાયેલા બાળકને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
મોડી રાત્રે ઘરેથી નીકળી ગયેલા આશરે 5 વર્ષના બાળકને પોરબંદર પોલીસે શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગઈકાલે મંગળવારે રાત્રે અંદાજે 3:30 વાગ્યે મોયુદિન પાલખીવાલા (કાબાવલી યા)નામનો યુવાન પોતાના કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે બોખીરા આવાસ કોલોની પાસે લકડી બંદર પુલ નજીક એક 5 વર્ષનો છોકરો એકલો રડતો જોવા મળ્યો હતો. યુવાને બાળકને શાંત કરાવી પૂછપરછ કરી, પરંતુ સ્પષ્ટ માહિતી ન મળતા તરત જ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી, માહિતી મળતા જ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ.જે. રાણા અને કોન્સ્ટેબલ પિંકેશભાઈ સોલંકી સ્થળે પહોંચ્યા હતા. બાળક ઠંડીના કારણે કાંપતો હોવાથી તેને જેકેટ પહેરાવ્યું અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી,પોલીસે બાળક સાથે વાતચીત કરીને તેની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો. પૂછપરછ દરમિયાન બાળકના પિતાનું નામ ગલાભાઈ રાણાભાઈ મોરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે માતા-પિતાનો સંપર્ક કરી તપાસ પૂર્ણ કરી બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે કર્યો હતો. મુસ્લિમ આગેવાન ઇસ્માઇલખાન શેરવાનીએ પોલીસ અને મોયુદિન પાલખીવાલાની કામગીરીને બિરદાવી હતી. 15 જેટલા કૂતરાઓથી બાળક ડરી ગયો હતોઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળે આસપાસ 15 થી વધુ કુતરાઓ હાજર હતા, જેના કારણે બાળક ગભરાયેલો હતો. યુવાને સમયસર પહોંચી જતા અને પોલીસને જાણ કરતા પોલીસે બાળકને સલામત રીતે પરિવાર સુધી પહોંચાડ્યો હતો જેથી દુર્ઘટના ટળી હતી.
પોરબંદરના શિક્ષણકારોની અમદાવાદ મુલાકાતમાં શિક્ષણના મૂલ્યો પર ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતે નિવૃત શિક્ષણશાસ્ત્રી ડો. સતીશભાઈ માંડલિક અને ડો. હર્ષદભાઈ ભટ્ટની મુલાકાત દરમિયાન શિક્ષણ ક્ષેત્રે મૂલ્યો અને દિશાદર્શનની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરના કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાએ બંને શિક્ષણવિદોને મળી વર્તમાન શિક્ષણ અને યુવા પેઢીને માર્ગદર્શન મળે તે હેતુસર વિચારવિમર્શ કર્યો હતો. ડો. સતીશ માંડલિકે જણાવ્યું કે, શિક્ષકનું જીવનદર્શન જ શિક્ષણદર્શન બને ત્યારે શિક્ષણ રાષ્ટ્ર અને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં પ્રકાશિત કરે છે. તેમણે પોરબંદરની આર.જી.ટી. કોલેજને પોતાના અલભ્ય પુસ્તકો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.મુલાકાત દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સાદગી, નિષ્ઠા, સ્વાવલંબન અને મૂલ્યોનું મહત્વ દર્શાવાયું તેમજ આજની યુવા પેઢીને યોગ્ય દિશાદર્શનની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આ પ્રસંગે પરિવારજનો અને શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો પણ હાજર રહ્યા હતા.
સેવાકાર્ય હાથ ધરાયા:સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૌષ્ટિક આહાર, ધાબળા વિતરણ અને બાળકોને ભોજન અપાયું
પોરબંદરના આશા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકાર્ય યોજવામાં આવ્યા હતા.જેમાં દર્દીઓને પૌષ્ટિક આહાર,ધાબળા વિતરણ અને બાળકોને ભોજન વિતરણ કરાયું હતું. આશા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્ય કરવામાં આવ્યા હતા.જેમાં આનંદ ગૌશાળામાં 20 મણ ગાયોને લીલું ઘાસ તેમજ લેડી હોસ્પિટલમાં સગર્ભા બહેનોને શીરાનો વિતરણ ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને પૌષ્ટિક આહાર જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળાનું વિતરણ તેમજ પક્ષીઓને ચણ અને રસિકબાપા રોટલા વાળા ત્યાં બાળકોને ભોજન પ્રસાદી નો સેવાય યજ્ઞ કરવામાં આવ્યો હતો. જે દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો હતો તેમજ દ્વારકા મુકામે સમૂહ રાંદલ માતાજીના લોટાનું આયોજન કરવામાં આવ્યું છે જે મનોરથી ને આમાં જોડાવું હોય તે લોકો અમારો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. આ સેવા યજ્ઞમાં હેતલબેન થાનકી,જ્યોતિબેન આસોડિયા અને ઉષાબેન વિઠલાણી સહભાગી બન્યા હતા
ભાસ્કર ઇમ્પેક્ટ:લીમડાચોક શાકમાર્કેટ વિસ્તારમાં આખરે મનપાએ મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરી
પોરબંદરના લીમડાચોક શાકમાર્કેટ વિસ્તારમાં 1 વર્ષ પહેલા શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ 1 વર્ષ બાદ પણ શૌચાલય બન્યું નથી જેને કારણે વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે તેવો અહેવાલ ભાસ્કરે પ્રસિધ્ધ કરતા બીજા દિવસે જ ટેમ્પરરી મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરી છે. લીમડાચોક શાકમાર્કેટ ખાતે વિવિધ વિસ્તારના ગ્રાહકો તેમજ ગ્રામ્ય વિસ્તાર માંથી ગ્રાહકો આવે છે. સવારે 7 વાગ્યાથી સાંજ સુધી ગ્રાહકો આવે છે. અહીં શૌચાલય જર્જરિત થતા નવું શૌચાલય બનાવવાની કામગીરી 1 વર્ષ પહેલા શરૂ કરી હતી અને આ કામગીરી હજુસુધી પૂર્ણ થઈ નથી. અંદાજિત 500 જેટલા વેપારીઓ અને સરેરાશ રોજના 5 હજાર ગ્રાહકોને શૌચાલયના અભાવે હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગે દિવ્યભાસ્કર પોરબંદરમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસિધ્ધ થતા જ મનપા તંત્ર દ્વારા તાકીદે મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરી લીમડાચોક વિસ્તારમાં મોબાઈલ ટોયલેટ રાખવામાં આવ્યું છે. મનપાએ જણાવ્યું હતુ કે કોન્ટ્રાક્ટરને 3 વખત નોટીશ આપી છે અને પેનલ્ટી આપી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી નિમિતે મેળાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ મીની કુંભમેળા નિમિતે પોરબંદરના એસ.ટી.વિભાગ દ્વારા પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા ડેપો ખાતેથી જૂનાગઢ, દ્વારકા અને સોમનાથના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. એસ.ટી.વિભાગ દ્વારા 11 થી 15 ફેબ્રુઆરી સુધી પોરબંદર થી જૂનાગઢ,દ્વારકા અને સોમનાથ જવા માટે જરૂરીયાત મુજબ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવશે આગામી તા. 11-02-2025 થી તા.15-02-2025 સુધી વિશ્વ પ્રસિદ્ધ મીની કુંભ મેળો એટલે કે જુનાગઢ ભવનાથ ખાતે પ્રારંભ થયેલ શિવરાત્રી મેળાને મિની કુંભ મેળો પણ માનવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પણ આ મેળાને લઈને તૈયારીઓ શરૂ કરવા આવી છે. પોરબંદરના એસ.ટી.ડેપો દ્વારા પોરબંદર જિલ્લાના ભાવિકોને એક્સ્ટ્રા બસો મારફત ભવનાથ સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા 11 થી 15 ફેબ્રુઆરી સુધી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ડેપો ખાતેથી જૂનાગઢ, સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જવા માટે વધારાની એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. પોરબંદરના ડેપો દ્વારા દિવસ દરમ્યાન 11 બસો મારફતે 22 એક્સ્ટ્રા ટ્રીપ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જવા માટે 25 રૂટ ઉપલબ્ધ પોરબંદરના ડેપો ખાતેથી મહાશિવરાત્રીને લઈને એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવશે ત્યારે પોરબંદરના એસ.ટી.ડેપો ખાતેથી રોજ રેગ્યુલર 25 જેટલા રૂટ જૂનાગઢ જવા માટે પણ ઉપલબ્ધ છે.પોરબદરથી 30 મિનિટે જૂનાગઢ જવા માટે એસ.ટી.બસ ઉપલબ્ધ છે.
ભાણવડના રોઝડા ગામે એક કપિરાજ રહેણાંક વિસ્તારમાં માનવ વસાહતમાં આવી ચડ્યો હતો. અને ઠેકડા મારતો હતો. કોઈને નુકશાન પહોંચાડે અથવા અન્ય કોઈ વ્યક્તિ કપિરાજને નુકસાન ન પહોંચાડે તે હેતુથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી કપિરાજને પકડી લેવામાં આવ્યો હતો અને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યો હતો. અભયારણ્ય ખાતે વેટરનરી ડોક્ટર દ્વારા કપિરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કપિરાજ બીમાર ન હોવાથી તેને સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે, આ કપિરાજ ઉત્તર અથવા દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, ત્યાંથી કોઈપણ કારણોસર સૌરાષ્ટ્રની ભૂમિમાં આવ્યો હતો.
વેધર રિપોર્ટ:પોરબંદરમાં લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 18.5 નોંધાયું
પોરબંદરમાં મહતમ તાપમાન 31.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 18.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27 થી લઈને 87 ટકા નોંધાયું છે. શહેરમાં મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં સવારથી સાંજ સુધી ગરમીનો અનુભવ થાય છે અને સાંજે ઠંડીનો અનુભવ થાય છે. ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું જ્યારે બુધવારે મહતમ તાપમાન 31.7 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા પાંચ દિવસથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું તેની સામે બુધવારે લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 18.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27 થી 87 ટકા નોંધાયું છે એટલેકે મોડી રાત્રે ભેજનું પ્રમાણ વધી જાય છે અને ભેજનું પ્રમાણ ઘટે ત્યારે વધુ ઠંડી પડે છે. ભેજનું પ્રમાણ વધી જતા ઝાંકળ પડી હતી. પોરબંદરમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
મનપાની બેદરકારી:રાણીબાગ નજીક મંદ ગતિએ ચાલતી શૌચાલય બનાવવાની કામગીરી
પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં શૌચાલયના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરના રાણીબાગ નજીક પણ મનપા દ્વારા છેલ્લા ઘણા મહિનાથી શૌચાલયના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ આ કામ ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે ઉપલબ્ધ કરવામાં આવેલ જાહેર શૌચાલય તેમજ યુરિનલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા હતા જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જર્જરીત શૌચાલય અને યુરિનલનું ડીમોલેશન કરી નવા શૌચાલયના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરના રાણીબાગ નજીકની ગલીમાં પણ મહાનગરપાલિકા દ્વારા મહિનાઓ પહેલા શૌચાલયના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પરંતુ આ શૌચાલય કામગીરી હજુ પણ પુરી ન થતા હાલ આ વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. હાલ પણ શૌચાલયની કામગીરી બંધપોરબંદરના રાણીબાગ વિસ્તારમાં પોરબંદર મનપા દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલ શૌચાલયની કામગીરી અવાર નવાર બંધ જોવા મળે છે.ત્યારે હાલ પણ શૌચાલયની હાલ પણ બંધ જોવા મળી રહી છે.
પ્રવાસીઓને મુશ્કેલી:પોરબંદરની ચોપાટી પર પીવાનાપાણીની સુવિધાનો અભાવ
પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલ છે.આ ચોપાટી ખાતે દિવસ દરમ્યાન આવતા હજારો પ્રવાસીઓને પીવાનું પાણી મળતું નથી,મનપા દ્વારા ચોપાટી પર બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ભરવાની દરકાર ન લેતા હાલ પીવાના પાણીના પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તો અહીં આવતા શહેરીજનો અને પ્રવાસીઓને પૈસા ખર્ચી પીવાનું પાણી લેવું પડે છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સત્વરે યોગ્ય કામગીરી કરી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવા લોક માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં મુંબઇ બાદ સૌથી લાંબી ચોપાટી આવેલ છે.પોરબંદર શહેરમાં અંદાજે 2 કિલોમીટર લંબાઈ ધરાવતી ચોપાટી ઉપલબ્ધ છે.આ ચોપાટી પ્રવાસીઓ અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે.ત્યારે ચોપાટીનો વિકાસ થોડા વર્ષ પૂર્વે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. જેમાં ચોપાટી વોકવે,બેઠક વ્યવસ્થા, પાર્કિગ,પીવાના પાણીની સુવિધા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.ત્યારે હાલ આ સુવિધામાંથી અમુક સુવિધા તંત્રની બેદરકારીને લઈને ઉપલબ્ધ નથી.પોરબંદરની ચોપાટી ખાતે દિવસ દરમ્યાન આવતા દેશ વિદેશના હજારો પ્રવાસીઓ તેમજ શહેરીજનો જ ચોપાટી ખાતે પીવાનું પાણી મળતું નથી. તંત્ર દ્વારા ચોપાટી ખાતે બનાવવામાં આવેલ પીવાના પાણીના પરબમાં પાણી ન ભરવામાં આવતા હાલ આ પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. 2 કિલોમીટર ચોપાટી પર માત્ર પાર્કિગમાં પીવાના પાણીનો પરબ ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા માત્ર પાર્કિગ ખાતે જ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.બાકી 2 કિલોમીટર સુધીના એરિયામાં એકપણ પીવાના પાણીનો પરબ ઉપલબ્ધ નથી. વોકવેની બાજુમાં પાણીનાકુલર ઉપલબ્ધ કરવા જગ્યા છેચોપાટી ખાતે આવેલ વૉક વે પર મનપા તંત્ર દ્વારા દર 500મીટરે પીવાના પાણીનું કુલર ઉપલબ્ધ કરી શકે છે.આ માટેવોકવેની બાજુમાં જગ્યા પણ ઉપલબ્ધ છે અને બાંધકામનીપણ જરૂરિયાત રહેતી નથી.
પોરબંદરમાં છેલ્લા 6 વર્ષથી તાલુકા પંચાયત શાળાના બિલ્ડિંગમાં કાર્યરત છે અને અંદાજે અઢી વર્ષથી પણ વધુના સમયથી તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરાયું હતું અને રૂ.3.79 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ જિલ્લા પંચાયત સામે આવેલ જગ્યામાં બનાવવા તાંત્રિક મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે હજુસુધી નવા બિલ્ડિંગ માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું નથી. પોરબંદરના તાલુકા પંચાયતનું પોતાનું બિલ્ડિંગ નથી. પોરબંદર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ વર્ષોથી ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત હતું. અગાઉ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ જૂની કોર્ટમાં હતું અને 2019 થી તાલુકા પંચાયત એમ.જી રોડ પર આવેલ સરકારી રામબા પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તાલુકા પંચાયતની કાર્યરત છે, અહીં ઊંધો ઘાટ ઘડાયો છે. શાળા તાલુકા પંચાયતની કચેરીમાં નહીં પરંતુ તાલુકા પંચાયત શાળામાં ચાલી રહી છે, અઢી વર્ષ પહેલા તાલુકા પંચાયતને નવું બિલ્ડિંગ બનાવવા અંગે આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયત સામે આવેલ પોરબંદર તાલુકા પંચાયત કચેરીના નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી અને આ બિલ્ડીંગ રૂ.3.79 કરોડના ખર્ચે 1225 સ્કેવર મીટરમાં તાલુકા પંચાયતનું બિલ્ડિંગ નિર્માણ થશે તેવું જાહેર થયું હતું અને બાદ આયોજનમાં જ સમય નીકળી ગયો હતો. નવા બિલ્ડિંગ માટેની તાંત્રિક મજૂરી પણ મળી ગઈ છે આમ છતાં તાલુકા પંચાયતના નવા બાંધકામ માટે હજુસુધી મુર્હૂત આવ્યું ન હોય તેવું જણાઈ આવે છે. જો નવું બિલ્ડિંગ બને તો તાલુકા પંચાયતને સ્વતંત્ર બિલ્ડિંગ સાથે આધુનિક સુવિધા મળી શકે તેમ છે. ખાતમુર્હુત બાદ દોઢ બે વર્ષે બિલ્ડિંગ ઊભી થાય ત્યાં સુધી તાલુકા પંચાયતને શાળાનો જ આશરો લેવો પડશે. પાછળના ભાગે શાળા ચાલુ છે જાણવા મળતી વિગત મુજબ તાલુકા પંચાયત રામબા પ્રાથમિક શાળા ખાતે કાર્યરત છે અને શાળા પાછળના ભાગે 2 રૂમમાં કાર્યરત છે જ્યાં 2 થી 3 છાત્ર અભ્યાસ કરે છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ પણ ખોલવાનું બાકી : અધિકારીતાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પણ ખોલવાનું બાકી છે, ટેન્ડર ક્લાર્ક રજા પર છે, ખોલ્યા બાદ કેટલી પાર્ટી આવી તે ટેન્ડર ખોલ્યા બાદ જાણવા મળશે, ટેન્ડર ખોલ્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે. > પી.બી.શિંગરખિયા, અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, બિલ્ડિંગમાં કઇ કઈ સુવિધા ઉપલબ્ધ થશેપોરબંદર તાલુકા પંચાયત નવા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 610 સ્કેવર મીટર અને ફર્સ્ટ ફ્લોર પર 580 સ્કેવર મીટરમાં પ્રમુખ, ચેરમેન,તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર,મીટીંગ હોલ,કોમન રૂમ, કોમ્પ્યુટર રૂમ, રોકોર્ડ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.
જૂનાગઢની જી.એમ.ઈ.આર. એસ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ એજન્સી હેઠળ કામ કરતા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા 20 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા અસલમભાઈ મકવાણા નામના કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે, મેડિકલ કોલેજના ડીન, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને એજન્સીના સુપરવાઈઝર દ્વારા મનસ્વી રીતે તેમને તારીખ 03 ફેબ્રુઆરી 2026ના રોજ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, હોસ્પિટલના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોનું માનસિક શોષણ કરવામાં આવે છે. મેં ફક્ત ચા બનવવાની ના પડતા નોકરી માંથી છુટા કરી દીધેલ છે, અને આવી રીતે વિરોધ કરનારને ખોટા કારણો આપી કાઢી મૂકવામાં આવે છે. વધુમાં મેડિકલ કોલેજમાં દારૂની મહેફિલ જામતી હોવાના અને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પીડિત કર્મચારીએ આ બાબતે ગાંધીનગર સી.ઈ.ઓ. અને જૂનાગઢ કલેક્ટરને પત્ર લખી તટસ્થ તપાસ કરવાની, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની અને પોતાની નોકરી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
મહાશિવરાત્રિના મીનીકુંભ મેળાનો 11 ફેબ્રુઆરીને બુધવારથી પ્રારંભ થઇ ગયો છે. દેશભરમાંથી લાખો ભાવિકોનુ આગમન થઇ રહ્યુ છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણીસંગમ સમા મેળામાં આ વર્ષે તંત્રએ અનેક વિશિષ્ટ આયોજનો કર્યા છે. ખાસ કરીને આ વર્ષે મેળાનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે જેને લઇ સોનાપુરી, ગિરનાર દરવાજાથી જ મેળાની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે વાહનો માટે પણ પ્રવેશબંધી ફરમાવતા ટ્રાફીકની સમસ્યામાં પણ ઘટાડો થશે.ખાસ કરીને ચાલીને જતા યાત્રિકોને ભક્તિમય વાતાવરણ અને શિવજીની આરાધના કરી શકે તે માટે તંત્ર દ્વારા સોનાપુરથી ભવનાથ મંદિર સુધીના થાંભલાઓમં લાઉડ સ્પીકરો લગાવ્યા છે. જેમાં સવારથી સાંજ સુધી શિવજીના ભજન, કિર્તન શરૂ રહે છે. જેને કારણે ભાવિકો ભક્તિમય માહોલમાં મેળાને માણી રહ્યા છે.
યુવાને જીવાદોરી કાપી:બીમારીથી કંટાળી બાલાગામના યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
બીમારીથી કંટાળી બાલાગામના યુવાને ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કેશોદ તાલુકાના બાલાગામના બોરીયા વાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય જવીનભાઇ જાદવભાઇ જોટવા નામના યુવકને છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારી હતી. દવા, સારવાર કરાવવા છતાં પણ તબિયત સારી ન થતા આખરે મંગળવારે બીમારીના કારણે ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું.યુવાનના અંતિમ પગલાંથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વિજયભાઇ કારાભાઇ જોટવાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં માળીયાહાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ કુકસવાડા ગામના 50 વર્ષીય કાનાભાઇ આલાભાઇ ચાવડાએ ગઇ તા. 3 ફેબ્રુઆરીના રોજ સાંજે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થતા પરિવારજનો શોકમગ્ન થઇ ગયા હતા. કાનાભાઈના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા ચોરવાડ પોલીસે મૃતકના પુત્ર વિરેન્દ્રભાઈનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
માર માર્યો:અપહરણ કેસના સાક્ષીના નંબર નહિ આપતા યુવતીને શખ્સે માર માર્યો
શહેરના જોષીપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી અને તેના પરિવાર પર એક શખ્સે હુમલો કરી ધમકી આપી હતી. જોષીપુરા વિસ્તારમાં રહેતી એક 19 વર્ષીય યુવતીની ફરિયાદ અનુસાર ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ મારુતિનગરમાં રહેતા રિઝવાન હસનભાઈ ચોટીયારા નામના શખ્સે વર્ષ 2023માં આ યુવતીનું અપહરણ કર્યું હતું, જે અંગે યુવતીના પિતાએ ફરિયાદ કરી હતી. જેમાં શખ્સને પોલીસે પકડ્યો હતો. બાદમાં જામીન પર છૂટ્યો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલુ છે. ગત તા. 2 અથવા 3 ફેબ્રુઆરીના રોજ શખ્સે યુવતીને વોટ્સએપ કોલ કરી અપહરણ કેસના સાક્ષીઓના મોબાઈલ નંબર માંગ્યા હતા. નંબર આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ગઇ તા. 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના રિઝવાને યુવતીના ઘર પાસે આવી ગાળો ભાંડી હતી. જ્યારે યુવતી અને તેના માતા-પિતા તેને રોકવા ગયા, ત્યારે શખ્સે યુવતીને પકડી રસ્તા પર પછાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. વચ્ચે પડેલા માતા-પિતાને પણ ધક્કે ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં યુવતીને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દુકાનનો હિસાબ લઈ ઘરે જતા શહેરના એક વેપારીનું રૂપિયા 3.84 લાખની રોકડ ભરેલ પર્સ ઝાંઝરડા ચોકડીએ પડી ગયું હતું. જોકે એસઓજીએ સીસીટીવીની મદદથી 1 કલાકમાં શોધી પરત કરતા વેપારીને હાશકારો થયો હતો. ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા વેપારી પ્રકાશભાઈ તોતારામભાઈ વિઘાણી ઝાંઝરડા ચોકડી પાસે ખાનગી હોસ્પિટલ પાછળ આવેલ પોતાની દુકાનનો હિસાબ લઈ મંગળવારની રાત્રે 11 વાગ્યે ઘરે જતા હતા. તે દરમિયાન તેમના રૂપિયા 3.84 લાખ રોકડ રકમ ભરેલ કાળા કલરનું પર્સ રસ્તામાં પડી ગયું હતું. જેની જાણ કરવામાં આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ આર. કે. પરમારની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી દુકાનની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી માત્ર એક જ કલાકમાં રૂપિયા 3.84 લાખની રોકડ ભરેલ પર્સ શોધી સલામત પરત આપ્યું હતું. પોલીસની ત્વરિત કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રકાશભાઈએ જણાવ્યું કે, તેમને આ પૈસા પરત મળે તેવી આશા પણ ન હતી. આટલી ઝડપથી પૈસા શોધી આપતા તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચોરોએ કર્યો હાથફેરો:લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી 7.47 લાખના દાગીનાની ચોરી
મક્તુપુર ગામે લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા 7.47 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ફરિયાદ માંગરોળ તાલુકાના મક્તુપુર ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતા બટુકસિંહ મોટાજી ચુડાસમા ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે મકાનને તાળા લગાવી પરિવાર સાથે પડોશમાં રહેતા કુટુંબી ભાઈ હરદેવસિંહ વજેસંગ ચુડાસમાની દીકરીના લગ્ન પ્રસંગે રાખવામાં આવેલા દાંડિયા રાસમાં ગયા હતા. આ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી મોડી રાત્રિના 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ ઘરના દરવાજાનો હુક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં કબાટમાંથી સોનાનો હાર, નથડી, લકી, ઓમકાર અને કડી સહિતના 8 તોલા સોનાના દાગીના તથા 1800ની રોકડ મળી કુલ રૂપિયા 7,47,813ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મોડી રાત્રે જ્યારે બટુકસિંહ ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈ તેમને શંકા ગઈ હતી. તપાસ કરતા કબાટમાંથી તમામ દાગીના ગાયબ જણાયા હતા. ઘટના અંગે તેમણે ફરિયાદ માંગરોળ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સેવાની સરવાણી:મીનીકુંભમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આયોજિત મીની કુંભમાં ભક્તિની સાથે સેવાનો સમન્વય જોવા મળી રહ્યો છે. શહેરની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ભારતી આશ્રમ ખાતે રક્તદાન શિબિર, પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ફિઝિયોથેરાપી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પ્રારંભ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 હરિહરાનંદભારતીજી તથા અન્ય સાધુ-સંતોના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વચન પાઠવતાએ જણાવ્યું હતું કે, રક્તદાનએ માનવતાનું ઉત્તમ કાર્ય છે અને રક્તદાતા ખરા અર્થમાં માનવતાના મંદિરમાં દીવો પ્રગટાવનાર આત્મા છે. સંસ્થાના સમીર દત્તાણીએ જણાવ્યું કે, શિવોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે. શિબિરના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કર્યું હતું, જ્યારે અનેક લોકોએ પ્રાથમિક સારવાર અને ફિઝિયોથેરાપી સેવાનો લાભ લીધો હતો.
વેધર રિપોર્ટ:પવન ફૂંકાતા તાપમાન વધ્યું, મહતમ 31.8, લઘુતમ 15.6 ડિગ્રી નોંધાયું
હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર બુધવારે પવનની ઝડપ વધતા તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આગામી 5 દિવસ પવનની ઝડપ વધવાની હવામાં નિષ્ણાતે કરેલી આગાહી મુજબ બુધવારે જૂનાગઢમાં પવનની ઝડપ વધીને કલાકની 5.6 કિલોમીટરની થઈ ગઈ હતી. જેની અસર તાપમાન પર થતા 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધીને શહેરમાં 15.6 અને ગિરનાર પર્વત પર 10.6 ડીગ્રી નોંધાયું હતું. જેની સાથે સવારની હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 75 ટકા થઈ ગયું હતું. સવારથી શરૂ થયેલી ગરમી બપોરના પણ યથાવત રહી હતી અને મહત્તમ તાપમાનનો પારો ઊંચકાઈને 31.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બપોરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 29 ટકા રહ્યું હતું. આમ એકાએક ગરમી વધતા લોકો અકળાઈ ગયા હતા.
દિવ્યાંગો માટે ખાસ સુવિધા:બસસ્ટેન્ડથી વાઘેશ્વરી સુધી ફ્રીમાં દિવ્યાંગો માટે અલગ બસની વ્યવસ્થા
મહાશિવરાત્રિના મેળાને લઇ એસટી વિભાગ દ્વારા દિવ્યાંગો માટે અલગથી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાના પ્રથમ દિવસે જ દિવ્યાંગોને બસ મારફત મેળા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એસટી વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યુ કે, આ વર્ષે શિવરાત્રિના મેળામાં બસસ્ટેશનથી વાઘેશ્વરી ગ્રાઉન્ડ સુધી જ યાત્રિકો માટે બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે અલગથી તંત્રએ વ્યવસ્થા કરી છે. જેમાં બસસ્ટેશનથી વાઘેશ્વરી ગ્રાઉન્ડ સુધી મફતમાં દિવ્યાંગોને લઇ જવામાં આવશે બાદમાં ત્યાથી રીક્ષા મારફત જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં આવશે. આમ, તંત્ર દ્વારા બસસ્ટેશનથી મેળા સુધી દિવ્યાંગોને પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રજાજન પરેશાન:અંધ વૃદ્ધ ,અપંગ બહેનને ધક્કે ચડાવ્યા બાદ આધાર કાર્ડનું કામ રિજેક્ટ કર્યું
શહેરમાં નંદનવન રોડ પર રહેતા હર્ષવર્ધન જોષી, જે પોતે સિનિયર સિટીઝન છે અને એક આંખે દ્રષ્ટિહીન છે, તેમને પોતાના નવા મકાનના સરનામાં ફેરફાર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા છે. તેમની સાથે તેમની બહેન પણ રહે છે જેઓ દિવ્યાંગ (અપંગ) છે, તેમ છતાં તંત્રએ તેમને કોઈ વિશેષ સુવિધા આપવાને બદલે ખાનગી સેન્ટરો પર ભટકવા મજબૂર કર્યા હતા. હર્ષવર્ધનભાઈ જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની આધાર કાર્ડ ઓફિસે ગયા, ત્યારે ત્યાં હાજર સ્ટાફે તેમને યોગ્ય સહકાર આપવાને બદલે ઓમ સાયબર કાફેમાં મોકલી દીધા હતા. સરકારી પ્રક્રિયામાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક અંધ વૃદ્ધને ખાનગી સેન્ટર પર મોકલવા પાછળની મથરાવટી સામે અનેક સવાલો ઊભા થયા છે. પીડિત વૃદ્ધે આક્ષેપ કર્યો છે કે સાયબર કાફેમાં તેમની પાસેથી 300 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. સરનામું બદલવા જેવી સામાન્ય પ્રક્રિયા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવડાવવામાં આવી હતી. છેક 45 દિવસ બાદ તેમને જાણ કરવામાં આવી કે તેમનું આધાર કાર્ડ રિજેક્ટ થયું છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ઘરે બેઠા સુવિધાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ શારીરિક રીતે અક્ષમ વૃદ્ધોને સામાન્ય કામ માટે પણ દોઢ મહિના સુધી હેરાન થવું પડે તે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
જૂનાગઢમાં શહેરમાં આવેલ ગિરનાર નેચર સફારીમાં શિવરાત્રીના મેળાને લઇને તારીખ 15 ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે. તારીખ 16 ફેબ્રુઆરીને સોમવારથી રાબેતા મુજબ રાબેતા મુજબ શરૂ થઇ જશે તેમ જણાવેલ છે. જૂનાગઢ ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યુ કે, ભવનાથમાં આગામી તારીખ 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાનાર છે. જેને લઇને દોલતપરા ગેઇટ નજીક આવેલ ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે તારીખ 15 ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે તેમજ ઓનલાઇન બુકીંગમાં પણ સ્લોટ બંધ રાખવામાં આવેલ છે. જેનુ કારણ એ છે કે, મહા શિવરાત્રીના મેળાને લઇને તમામ સ્ટાફ બંધોબસ્તમાં રહે છે. તેમજ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટવાનુ હોય છે. ભવનાથમાં વન્યપ્રાણીઓની અવર- જવર પણ રહેતી હોય છે જેને લઇને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે સ્ટાફની નિમણુક કરવામાં આવેલ હોય છે. આમ, જૂનાગઢ ગિરનાર નેચર સફારી મુલાકાતીઓ માટે 15 ફેબ્રુઆરી સુધી બંધ રહી 16 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાઇપ લાઇન તૂટી, ધુણામાં ઘુસેલા પાણીમાં જ દિગંબર સાધુઓ બેસી ગયા
મહાશિવરાત્રીના પાવન પર્વે જૂનાગઢની ભવનાથ તળેટીમાં ભક્તિનો માહોલ જામ્યો છે, પરંતુ બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બોટાદના હડવદથી આવેલા દિગંબર કમલગિરી મહારાજે મેળામાં ફેલાયેલી ગંદકી અને સુવિધાઓના અભાવ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. ભવનાથ મંદિર ની સામે કે જ્યાં દિગંબર સાધુઓની ધૂણીઓ આવેલી છે ત્યાં કોર્પોરેશનની લીકેજ પાણી લાઈન નું પાણી અંદર ઘૂસી ગયું હતું. જેવું ધૂણીઓમાં પાણી ઘુસતા જ દિગંબર સાધુઓ રોષે ભરાયા હતા. સાધુઓએ કહ્યું કે સરકાર માત્ર દેખાડો કરે છે, વાસ્તવમાં સાધુઓ કાદવ-કીચડમાં રહેવા મજબૂર છે.જૂના અખાડાના સાધુ કમલગિરીએ ભીની આંખે અને ગુસ્સા સાથે જણાવ્યું કે, અમે રૂપિયાથી લાકડા જાતે ખરીદ્યા છે. અહીં પાણીની પણ વ્યવસ્થા નથી. અંબાજીના મિની કુંભમાં જેવી વ્યવસ્થા હતી, તેવી અહીં કેમ નથી? સરકાર માત્ર પોતાના ઘર-આંગણા સજાવે છે અને પોતાના બાળકોનું વિચારે છે. પણ યાદ રાખજો, જે મહાદેવને નથી પૂજતા, એ સ્વયં અમે છીએ. જો અમે દુઃખી થઈશું, તો તમે ક્યારેય સુખી નહીં થાઓ. “આ અમારો નહીં, ગિરનારી બાબાનો અનાદર છે”સાધુએ વધુમાં ઉમેર્યું કે, અહીં કાશી, હરિદ્વાર અને નેપાળથી સાધુઓ આવે છે કારણ કેઆ ગિરનારી દાદાની જગ્યા છે. તંત્ર માત્ર સ્ટેજ બનાવીને ''નાટક'' કરે છે. જો સાધુઓનેપાયાની જરૂરિયાતો માટે વલખાં મારવા પડતા હોય, તો આ મેળાનું આયોજન કોનામાટે? > સાધુ કમલગીરી''
સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા RUSA (National Higher Education Mission) તથા IQACના સંયુક્ત ઉપક્રમ હેઠળ “સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ” વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું તા. 10ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના “લોખંડી પુરુષ” તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ, રાષ્ટ્રીય એકતા તથા દેશના રજવાડાઓના એકીકરણમાં તેમના અવિસ્મરણીય યોગદાનને સમર્પિત આ રાષ્ટ્રીય સેમિનારમાં દેશભરના પ્રતિષ્ઠિત ઇતિહાસવિદો, વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં સરદાર વલ્લભભાઈ પટેલની વહીવટી દ્રષ્ટિ, ખેડા–બારડોલી સત્યાગ્રહમાં તેમની ભૂમિકા તથા રાષ્ટ્રીય એકતાના નિર્માણમાં તેમના યોગદાન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ગોષ્ઠી અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ શૈક્ષણિક અવસરરૂપ સાબિત થઈ હતી. આ સેમિનારનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરદાર સાહેબના ઓછા ચર્ચાયેલા અને ન લખાયેલા પાસાઓ અંગે સંશોધનને પ્રોત્સાહન આપવાનો, જાગૃતિ ફેલાવવાનો તથા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે સેમિનાર કોઓર્ડિનેટર ડૉ. ભરત ખેની તેમજ સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા પરિવાર દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ કોલેજના આચાર્ય રાજેન્દ્રસિંહ રાઠોડએ એક યાદીમાં જણાવ્યું હતું.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા લીલિયા તાલુકા તેમજ અમરેલી તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. 10ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટર મહેશ ઝીડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભો તેમજ ખેડૂતની આવક વધારવામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી તથા લીલિયા તાલુકાના T.P.M. તૃષાબહેન બોરીસાગર અને રોશન ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલુકા સ્તરે ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાળમુખા ટ્રકે સર્જ્યો અકસ્માત:અમરેલીના મોટા માચિયાળા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં આધેડને ઈજા
અમરેલીના મોટા માચિયાળા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 54 વર્ષિય આધેડને ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. અમરેલીના ચિતલમાં રહેતા મુસ્તુફા ઇબ્રાહિમભાઇ ભારમલ (ઉ.વ. 54) 9 ફેબ્રુઆરીના રોજ સાંજના છએક વાગ્યાના સુમારે પોતાનું એક્ટીવા લઈને અમરેલીથી ચિતલ ગામ તરફ જતા હતા. તે દરમિયાન મોટા માચિયાળા ગામ 400 કેવી નજીક પહોંચતા સામેથી આઇસર ટ્રક નંબર જી.જે. 04. એ. ડબલ્યુ- 8654 ના ચાલક પુરઝડપે ચલાવી મોટરસાયકલ સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતની આ ઘટનામાં મુસ્તુફા ઈબ્રાહિમભાઈ ભારમલને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાતા એએસઆઈ બી.ડી.અમરેલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. સાવરકુંડલાના ઓળીયા નજીકએસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતસાવરકુંડલાના ઓળીયા નજીક મંડોરથી સાવરકુંડલા રૂટની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસમાં નુકશાન થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. સાવરકુંડલા ખોડિયાર પાર્કમાં રહેતા અને એસટીના ડ્રાઈવર અશોકભાઈ ઉગાભાઈ પરમાર (ઉ.વ.45)એ અજાણ્યા આઈસર ટ્રક ચાલક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સરકારી એસટી બસ નંબર GJ. 18.Z- 9611 મંડોર ધાનપુરથી લઈને સાવરકુંડલા રહ્યો હતો. તે દરમિયાન 10 ફેબ્રુઆરીના રોજ સવારના સાડા પાંચેક વાગ્યે ઓળીયા ગામ નજીક અજાણ્યા આઈસર ટ્રક ચાલક રોંગ સાઈડમાં ગફલતભરી રીતે ચલાવી બસ સાથે અકસ્માત કર્યો હતો. આ ઘટનામાં એસટી બસમાં નુકશાન થયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાતા એએસઆઈ આર.બી.મારૂ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો:રોહીશા ગામ નજીક બાઈક પરથી પડતા યુવકનું મોત
જાફરાબાદના રોહીશા નજીક બાઈક ચાલકે કાબુ ગુમાવતા પાછળ બેસેલો યુવકનું નીચે પટકાતા ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. ગીર સોમનાથના ખત્રીવાડમાં રહેતા યુવકનું મોત થતા પરિવારમાં શોક પ્રસર્યો હતો. જાફરાબાદના વાપાળીયા રામેશ્વર સોસાયટી જોગો વિસ્તારમાં રહેતા દિવ્યેશ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.21)તેની મોટરસાયકલ નંબર GJ.14.A.S-8605 માં ઉનાના ખત્રીવાડમાં રહેતા તેની ફઇના દિકરા કિશનભાઇ ભગવાનભાઇ પામકને પાછળ બેસાડી ખત્રીવાડ ગામથી રોહીશા ગામ જતા હતા. ત્યારે દિવ્યેશે બાઈક પુરઝડપે ચલાવ્યું હતું અને સામેથી અજાણ્યો આઈક ચાલક આવતા દિવ્યેશે બ્રેક મારતા બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ ઘટનામાં બાઈક પાછળ બેસેલા કિશનભાઇ રોડ ઉપર ફંગોળાઇ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત નિપજ્યું હતું. આ અંગે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં દિવ્યેશ કરશનભાઈ રાઠોડ સામે ગુનો નોંધવામાં આવતા એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે.
રાષ્ટ્રીય કૃમિ દિવસ:શેલણામાં માધ્યમિક શાળા, આંગણવાડીમાં કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે આવેલ માધ્યમિક શાળા અને આંગણવાડી ખાતે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક ગોળીઓનું બાળકોમાં કૃમિ સંક્રમણને અટકાવવા માટે વિતરણ કરવામા આવ્યું હતું. શેલણા ગામની માધ્યમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટ અને ફેબ્રુઆરી માસમાં 1થી 19 વર્ષ સુધીના છાત્રોને આ ગોળીઓનું વિતરણ કરાય છે. વિતરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ઝીંઝુડાના આયુષ્માન આરોગ્ય મંદિર શેલણામાં કરવામાં આવી હતી. આં કામગીરીમાં મોટા ઝીઝુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર મયુર પારધી, હિંમતભાઈ પરમાર, રસીલાબેન શેતરણીયા અને અસ્મિતાબેન દ્વારા બાળકોને કૃમિ સંક્રમણ અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય શિક્ષણ અને હાથ ધોવાના ફાયદાઓ વિશે અને અંગત સ્વચ્છતા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. શાળા અને આંગણવાડી કેન્દ્રમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી અને સાવરકુંડલા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તેમજ મોટા ઝીંઝુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ યોજાયો હતો.
ભાસ્કર વિશેષ:સાવરકુંડલા મહિલા કોલેજ ખાતે બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધા યોજાઈ
સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, સામાન્ય જ્ઞાન, વ્યક્તિત્વ મૂલ્યાંકન, અને ઇન્ટરવ્યુના આધારે સ્પર્ધકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ચાવડા દ્વારા નિર્ણાયકોનો પરિચય આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમનું સભા સંચાલન રાઠોડ રુતવા અને સાગઠીયા મનીષાએ કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે છાયાબેન શાહ તથા હેતવીબેન ગઢીયાએ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના આયોજક તરીકે ડો.રુકસાનાબેન કુરેશી તથા સહાયક તરીકે ડો. જાગૃતીબેન રાઠોડે અને ડો.હરિતાબેન જોષી ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં જાદવ ફિઝુ પ્રથમ, ચુડાસમા આરતી બીજા તથા બારૈયા તેજલ ત્રીજા ક્રમે રહ્યા હતાં. પૂર્વ બેસ્ટ પર્સનાલિટી વાઘેલા હેતલે સ્પર્ધામાં પ્રથમ આવનાર જાદવ ફિઝુને તાજ પહેરાવી સન્માન કર્યું હતું. દ્વિતીય નંબર મેળવનાર ચુડાસમા આરતી તથા તૃતીય નંબર મેળવનાર બારૈયા તેજલનું પણ સન્માન કરવામા આવેલ .ભાગ લેનાર તમામ બહેનોને પ્રોફેસર છાયાબેન તરફથી ગીફટ આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ ઉત્સાહ પૂર્વક જહમેત ઉઠાવી હતી.
વીજશોક લાગતા બાળકનું મોત:ઝટકા મશીનના વાયરને અડી જતા 6 વર્ષીય બાળકનું મોત
લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો હતો. આ અંગે દામનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. મુળ છોટાઉદેપુરના નસવાડીના ચોસલી ફળીયુ વઘાચના વતની અને હાલ ભટ્ટવદરમાં ગગજીભાઈ નારણભાઈની વાડી ખાતે રહેતા રાકેશભાઈ જયંતિભાઈ ભીલ (ઉ.વ.29)એ જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે 6 વર્ષિય જસવંતભાઇ રાકેશભાઇ ભીલ વાડીના શેઢે મુકેલ ઝટકા મશીનના વાયરને અકસ્માતે અડી ગયો હતો. આ દરમિયાન તેને ઝટકો લાગતા વાયર ઉપર પડી જવાથી ઝકટા મશીનનો શોક લાગ્યો હતો. આ ઘટનામાં 6 વર્ષિય રાકેશ ભીલનું મોત નિપજ્યું હતું.
વિદ્યાર્થીઓની મૂંઝવણ થશે દૂર:બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આચાર્ય, શિક્ષકોની યાદી જાહેર કરાઈ
અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્ય અને શિક્ષકઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 12 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી આ ટોલ ફ્રી હેલ્પલાઇન પર પરીક્ષાને લગતું માર્ગદર્શન સવારે 11 કલાકથી સાંજે 6 કલાક સુધી પ્રાપ્ત કરી શકશે. અમરેલી જિલ્લામાં શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે બગસરામાં વિપુલભાઈ ભટ્ટ મો. 94277-42271, વડીયામાં કીરીટભાઈ જોટવા મો. 98984-67999, જાફરાબાદ વી.બી.અગ્રાવત મો. 94269 -85735, સાવરકુંડલા સોનલબેન મશરૂ મો. 94272-31825, ધારીમાં પી.ડી.પટાટ મો. 98257-36550, ખાંભા ધર્મેન્દ્રભાઈ કનાળા મો. 99983-20045, લીલીયા હસમુખભાઈ કરડ મો. 94288-36836, રાજુલા અનિલભાઈ પરમાર મો. 75670-31333 છે. વિદ્યાર્થીઓ આ નંબર પર કોલ કરીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.
મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી:સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અકસ્માતના મૃતકોના પરિવારજનોને સહાય
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના -મોટા અકસ્માતો સર્જાયા હતા. જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. મોરારીબાપુએ આ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી તેમના પરિવારને સહાય અર્પણ કરી હતી. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામના યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પોરબંદર જિલ્લામાં એક વૃદ્ધ પોતાનું વાહન લઇને વનાણા ગામ જતા હતા. ત્યારે અકસ્માતમાં તેમનું મોત થયું હતું. અન્ય એક બનાવમાં તળાજા તાલુકાના રામપરા ગામના આર્મી મેન નાજાભાઈનું પણ બાઈક અકસ્માતમાં મોત થયું હતું. તેમના પરિવારજનોને રૂપિયા 25,000 ની સહાય મોરારીબાપુએ અર્પણ કરી છે. જ્યારે મોરારીબાપુએ અન્ય મૃતકોના પરિવારને રૂપિયા 15,000 લેખે સહાયતા અર્પણ કરી છે. રામકથાના વિવિધ શ્રોતાઓ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
મુહૂર્તમાં જીરૂ પ્રતિમાણ રૂપિયા 5186એ ખરીદાયું:સાવરકુંડલા યાર્ડમાં સીઝનના નવા જીરૂની આવક
સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ ભગવાનજીભાઈ કાનજીભાઈ પટેલ ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સિઝનનું નવું જીરું માલકનેસ ગામના ખેડુત બચુભાઈ બાબુભાઇ ડાભીએ વૃજલાલ પોપટલાલના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનનું નવા જીરુંની આવકના શ્રીગણેશ થયેલ હોય જેનું માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ખરીદનાર વેપારીઓ, ખેડુતો, યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરોની ઉપસ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તનું જીરું ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી તકદીર ટ્રેડર્સ દ્વારાં પ્રતિમણ જીરૂની રૂપીયા 5186ની ઊચી બોલી બોલીને જીરું ખરીદ કરેલ. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. સાવરકુંડલા માર્કેટીંગયાર્ડમાં નવા જીરૂની આવક શરૂ થઈ ગઈ છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પહેલીવાર 20 કિલો જીરાનો ભાવ 5186 રૂપિયા બોલાયો છે. ગયા વર્ષે જીરાનો ભાવ કરતા પણ વધુ રૂપિયા બોલાયો હતો. આ તકે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, સેકેટરી દીપકભાઈ માલાણી, વાઈસ સેકેટરી મુકેશભાઈ ત્રિવેદી, પૂર્વ સેકેટરી આર.વી. રાદડિયા, ઇન્સપેકટર વનરાજભાઈ ખુમાણ, ડિરેક્ટર અશ્વિનભાઈ માલાણી સહિતના અગ્રણીઓ, વેપારીઓ અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતાં.
ભાસ્કર એક્સક્લુસિવ:ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહોના અકસ્માત બાદ સુરક્ષા વધારવા વનવિભાગની કવાયત
રાજુલા અને જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાથી ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે. પરંતુ એક માસમાં અહીં 2 સિંહ અને 1 દીપડાના મોત બાદ વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના બાદ જૂનાગઢ સીએફ રામ રતન નાલા દ્વારા આ ઘટનાની ગંભીરતા દાખવી સુરક્ષા વધારવા માટે સૂચના આપી હતી. પ્રથમ તકેદારીના ભાગરૂપે વનવિભાગ દ્વારા હાલમાં રાજુલાના હિંડોરણા નજીક નેશનલ હાઇવે ઉપર બેરીકેટ રાત્રીના સમયે રોડ ઉપર રાખવામાં આવે છે. જેના કારણે પુરપાટ સ્પીડે ચલાવતા વાહન ચાલકોની ગતિમર્યાદા ઘટાડી શકાય છે.રાજુલામાં પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે હાલમાં સિંહોનો વિસ્તાર વધ્યો છે. સિંહોની અવર જવર કાયમી જળવાય રહે તે માટે જ્યાં જ્યાં રસ્તા આવે ત્યાં અંડરપાસ કરવા જોઈએ. નવા નવા વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે. જ્યાં તેમની માટે અંડર પાસ પહોળા કરવા માંગણી કરી હતી. અત્યારે ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈ, એસીએફ વિરલસિંહ ચાવડા, આરએફઓ જીએલ વાઘેલા સહીત ટીમ સતત મોનીટરીંગ કરી પેટ્રોલિંગ કરી રહ્યા છે. વનવિભાગ દ્વારા પ્રથમ હાઈવે પર બેરીકેટ લગાવી પેટ્રોલિંગ વધારી દીધું છે. વાહન ચાલકોને ગતિમર્યાદા ઘટાડવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત વહેલી સવારે અને આખી રાત પેટ્રોલિંગ વધારી દીધું છે. મધ્યપ્રદેશની જેમ અહીં વાઘ ટાઇગર માટે અંડર પાસ બનાવવા સિંહપ્રેમીઓ માંગણી કરી રહ્યા છે. જુદી- જુદી ટીમો બનાવી પેટ્રોલીંગ કરાય છેરાજુલા ,જાફરાબાદ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. અહી કોસ્ટલ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નીકળે છે. રાજુલા જાફરાબાદ બંને રેન્જમાં નેશનલ હાઇવે ઉપર સિંહો ક્રોસિંગ કરે છે. તળાજા, મહુવા, રાજુલા અને ટીંબી સુધી વન વિભાગની ટીમો બનાવી છે. નેશનલ હાઇવે સાથે મિટિંગ કરી હતી, હોટ્સસ્પોટ વિસ્તારમાં સર્વે કરી સ્પીડ બાબતે શુ કરી શકાય તે માટે મનોમંથન ચાલી રહ્યું છે. વધુમાં વધુ શુ કરી શકાય તે માટે પૂરતી તકેદારી રાખવામા આવશે. > યોગેશ દેસાઈ, પાલીતાણા શેત્રુંજી ડિવિજન ઇન્ચાર્જ ડીસીએફ રસ્તા અને રેલવે ટ્રેક પર અંડરપાસ બનાવોસિંહોની સંખ્યા ખૂબ સારી રીતે વધી રહી છે. આ સાથે સિંહોનો વિસ્તાર વધ્યો છે. અહીં રસ્તા અને રેલવે ટ્રેક છે. તેની ઉપર વધારેમાં વધારે અંડરપાસ હોય તો સાવજોને અવરજવર કરી શકે અને આવા અકસ્માતો અટકશે. > ડો.મૂછડીયા, રાજુલાના સિંહપ્રેમી હોટસ્પોટ વિસ્તારને લોકેશન કરી આગળનીકાર્યવાહી કરવા નેશનલ ઓથોરિટીને સૂચનારાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં જોખમી માર્ગો પરના લોકેશન આઇડેન્ટિફાય કરીઆગળની કાર્યવાહી કરવા નેશનલ ઓથોરિટીને સૂચના પણ આપવામાં આવી છે. હાઇવે ઉપરસિંહોની સુરક્ષા વધારવા માટે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લા વિદ્યાસભાનો વહિવટ પાછલા કેટલાક સમયથી વિવાદના વંટોળમાં છે. કોલેજ વિભાગના સંચાલક ગીરીશ ભીમાણીને પ્રવાસમાં છાત્રાઓ સાથે અયોગ્ય વર્તન બદલ પાણીચુ આપી દેવાયા બાદ હવે હોસ્ટેલમાં ધોરણ 10ના છાત્રો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જ્યા એક છાત્રને ગંભીર ઈજા પહોંચતા અને શરીરનું અડધુ અંગ ખોટુ પડી જતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. મારામારીની આ ઘટના અમરેલી જિલ્લા વિદ્યાસભામાં હોસ્ટેલ વિભાગમાં ચાર દિવસ પહેલા મધરાતે બની હતી. જાણવા મળતી વિગત મુજબ અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા એક છાત્રને તેના જ અન્ય ચાર રૂમ પાર્ટનરે કોઈ કારણસર ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. જેના કારણે આ છાત્રની હાલત મધરાત્રે જ બગડતા તેને સારવાર માટે પ્રથમ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ છાત્રને એટલો મુંઢ માર મારવામાં આવ્યો હતો કે તેના શરીરનું અડધું અંગ કામ કરતું બંધ થયું હતું. મુળ સાવરકુંડલાના અને હાલ સુરતમાં રહેતા તેના પિતા એકના એક પુત્રની ગંભીર હાલત જોઈ રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતા. જો કે હાલમાં છાત્રની હાલત ખતરાથી બહાર ગણાવાઈ રહી છે. બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલ તુરંત વિદ્યાસભા ખાતે દોડી ગયા હતા અને હુમલો કરનાર વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા. તેમણે આ અંગે વિદ્યાસભાને એક નોટીસ ફટકારી ખુલાસો પણ પુછ્યો હતો. બે દિવસ બાદ આજે વિદ્યાસભા દ્વારા શિક્ષણાધિકારીને લેખીત જવાબ રજૂ કરાયો હતો. બીજી તરફ વિદ્યાસભાના સંચાલકોએ આ ઘટનામાં હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓ હવે ઘરે રહીને ધોરણ 10ની પરીક્ષા આપશે. આ ઘટનામાં ન તો વિદ્યાસભા દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરાય છે કે ન વિદ્યાર્થીના વાલી દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરાય છે. ગંભીર આક્ષેપોવાળા ચિઠ્ઠી કાંડમાં પણ છાત્રો સામે પગલાં દરમિયાન હોસ્ટેલના છાત્રોમાં થોડા દિવસ પહેલા સંચાલકો સામે ચારિત્ર્યના ગંભીર આક્ષેપોવાળી નનામી ચીઠ્ઠી ફરતી થઈ હતી અને પ્રિન્ટ કરેલી આ ચીઠ્ઠી એક છાત્રથી બીજા છાત્ર સુધી ફરતી રહેતા આ મુદ્દે પણ કેટલાક છાત્રો સામે સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાયા છે. ૌઅન્ય આઠ છાત્રોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. જો કે વિદ્યાસભાના સંચાલકો આ છાત્રોને અન્ય કારણોસર સસ્પેન્ડ કરાયાનું જણાવી રહ્યા છે. સંચાલકોએ આ સંસ્થાને બદનામ કરવાનો આ પ્રયાસ હોવાનું પણ જણાવ્યું છે. તોફાની છાત્રોને સસ્પેન્ડ કર્યા છે: વિધાસભના મંત્રીવિદ્યાસભાના મંત્રી ચતુરભાઈ ખૂંટે જણાવ્યું હતું કે આ ઘટનામાં મારામારી કરનાર ચાર છાત્રોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા છે. બંને પક્ષના વાલીને પણ બોલાવ્યા હતા. કોઈ વાલીએ ફરિયાદ કરી નથી. ફરિયાદ કરવી કે નહી તે હજુ નક્કી કર્યું નથી: વાલીબનાવ અંગે છાત્રના પિતાએ જણાવ્યું હતું કે હાલમાં હુ મારા પુત્રની સારવારને પ્રાથમિકતા આપી રહ્યો છું. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ કરવી કે નહી તે હજુ નક્કી કર્યું નથી. છાત્રને તુરંત હોસ્પિટલે પહોંચાડ્યો હતો: નિયામકહોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ છાત્રને તુરંત સંસ્થાના વાહનમાં હોસ્પિટલે લઈ જવાયો હતો. છાત્રો વચ્ચેઢીકાપાટુના મારામારીની સામાન્ય ઘટના બની હતી. અમે આ મુદ્દે વાલી સાથે સંપર્કમાં છે. > વસંતભાઈપેથાણી, અમરેલી વિધાનસભા સંસ્થાના નિયામક

25 C