SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

કષ્ટભંજન દેવને અર્પણ કરાયા હીરાના વાઘા:ન્યુ રાણીપના કષ્ટભંજન દેવને 11 હજાર હીરાના વાઘા અર્પણ કરાયા

દિવાળી નિમિત્તે ન્યુ રાણીપના કષ્ટભંજન દેવ હનુમાન દાદાને ભક્ત દ્વારા 11 હજારથી વધુ હીરા અમદાવાદ ઉપરાંત સુરતથી મંગાવી દોઢ મહિનામાં આ 21 કિલોગ્રામ વજન ધરાવતા વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. વાઘા તૈયાર કરનારાં પૂજા પટેલે જણાવ્યું કે અલગ અલગ જગ્યાએથી હીરા મંગાવીને આ વાઘા બનવામાં આવ્યા છે. આ વાઘાને કોઈ પણ દિશામાંથી જોવામાં આવે તો પણ તેની ચમક ચારેબાજુથી ઝળહળે છે. આ વાઘા દિવાળીના દિવસે જ હનુમાન દાદાને પહેરવામાં આવ્યા હતા

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:26 am

લાઈનમાં ભંગાણ:એસએસજી પાછળ લાઇનમાં ભંગાણ, રોડ પર પાણીની રેલમછેલ

સયાજી હોસ્પિટલ પાછળ ભીમનાથ બ્રિજ રોડ પર લાઈનમાં ભંગાણથી રોડ પર પાણી રેલાયાં હતાં. રોડ પર તળાવ જેવી સ્થિતિ થતાં વાહનચાલકોને વરસાદી સિઝનનો અહેસાસ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં એક તરફ પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં રોજ ભંગાણથી લાખો લિટર પાણીનો વેડફાટ થતો હોય છે. મંગળવારે સવારે સયાજી હોસ્પિટલની પાછળ ભીમનાથ બ્રિજ રોડ પર લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, જેને કારણે રોડ પર પાણી ભરાયાં હતાં. ત્યાંથી પસાર થતાં કોંગ્રેસના ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલે દિવાળીએ આવી સ્થિતિ સર્જાતાં નારાજગી ઠાલવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:26 am

મંદિરનો વહિવટ સરકાર હસ્તક:બળિયાદેવ મંદિરમાં વહીવટની અપસેટ વેલ્યુ 2.90 કરોડ થઇ,કોઇ હરાજીમાં ન જતાં પહેલીવાર કારભાર સરકારનો

ગુજરાતમાં વડોદરા જિલ્લામાં પોરમાં બળિયાદેવ મહારાજનું મંદિર સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં વહિવટ માટે 109 વર્ષથી હરાજી થાય છે. દર વર્ષે જુલાઈ મહિનામાં કલેક્ટર તંત્રના અધિકારીઓની હાજરીમાં ગામના અગ્રણીઓ ભેગા થાય છે અને જેમને મંદિરનો વહિવટ રાખવો હોય તે બોલી બોલતા હોય છે. જો કે, આ વર્ષે અધિકારીઓએ મંદિરના વહિવટની અપસેટ વેલ્યું 2.90 કરોડ રાખતા કોઈ પણ અગ્રણી દ્વારા બોલીમાં ભાગ લેવામાં આવ્યો નથી. આખરે 109 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મંદિરનો વહિવટ સરકાર હસ્તક ગયો છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પોર ગામના અગ્રણી જગદીશ પટેલે મંદિરનો વહિવટ રૂા.2.65 કરોડની બોલી લગાવીને રાખ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, 22 વર્ષ પહેલા મંદિરના વહિવટની હરાજી રૂા.4 લાખમાં થતી હતી, જે ગત વર્ષે 2.65 કરોડ સુધી પહોચી ગઇ હતી. મંદિરના પુજારી દિલીપભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પોર ગામમાં આવેલું બળિયાદેવ મહારાજનું મંદિર અતિ પૌરાણીક છે. આ ગામમાં કોઈ રહેતું ન હતું ત્યારથી બળિયાદેવ હાજર હતાં. ધીરે ધીરે ગામમાં વસતી થઈ અને મંદિર બન્યું અને લોકો દર્શનાર્થે આવતા થયા. આજે લાખોની સંખ્યામાં બળિયાદેવ મહારાજના દર્શને સમગ્ર રાજ્ય અને દેશમાંથી ભક્તો આવે છે. જ્યારે બળિયાદેવ મહારાજના મંદિરની પુજા પોર ગામના જ 45 બ્રાહ્મણ પરિવારો દ્વારા વારા-ફરતી કરવામાં આવે છે. જ્યારે મંદિરનો વહિવટ કરવા માટે છેલ્લા 109 વર્ષથી હરાજી પ્રથા ચાલતી આવી છે. જેમાં ચાલુ વર્ષે કોઈ પણ વ્યક્તિએ હરાજીમાં ભાગ ન લેતા આખરે મંદિરનો વહિવટ સરકાર હસ્તક ગયો છે. 22 વર્ષ પહેલાં વહીવટની હરાજી ~4 લાખમાં થતી હતી, ગત વર્ષે 2.65 કરોડે પહોંચી ગઇ હતીબળિયાદેવનું મંદિર 500 વર્ષ પુરાણું છે. પોરને યાત્રાધામ તરીકે વિકસાવવા જિલ્લા વહીવટી તંત્રે 10 કરોડનું ફંડ આપતા 1992માં તેનું નવિનીકરણ થયું હતું. 27 વર્ષ બાદ મંદિરની હાલત જર્જરીત થતા રિવરવેશન માટે 2016માં મંદિરના પૂજારી દિલીપભાઈ ઉપાધ્યાયે સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે જિલ્લા કલેકટર દ્વારા મંદિર ડેવલપમેન્ટ કરાયું હતું. બળિયાદેવ મંદિર શિખર વગરનું છે, દેવે પૂજારીને સ્વપ્નમાં શિખર ન રાખવા કહ્યું હતુંલોકવાયકા અનુસાર, પોર ખાતે આવેલા બળિયાદેવ દાદાના મંદિરમાં જેટલી વાર શિખર તૈયાર કરવામાં આવ્યું તેનો કોઈ ભાગ તૂટી જતો હતો. શિખર લાંબા સમય સુધી ટકતું ન હતું. ત્રણ વખત આ મંદિરનું શિખર બાંધ્યું પરંતુ તે ત્રણેય વખત તૂટી ગયું. ચોથી વખત કોશિશ કરી તો પૂજારીને સ્વપ્નમાં બળીયાદેવે કીધું કે, મને ખુલ્લા રહેવું ગમે છે. જ્યારે પણ શિખર બાંધશો, ત્યારે હું તે તોડી નાખીશ. આમ મંદિર શિખર વગરનું જ છે. તેમ દિલીપ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:25 am

ભરતી:જિલ્લા પંચાયતોમાં સહાયક ઇજનેર સિવિલની 350 જગ્યા માટે ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ-3ની 350 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. વિવિધ પંચાયતોમાં એન્જિનિયરની 350 જગ્યા પર ભરતી માટે 6 નવેમ્બર રાત્રે 11.59 સુધી https;/gpssb.gujarat.gov.in પર અરજી કરી શકાશે.જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ.100 સર્વિસ ચાર્જ ઓનલાઇન ભરી શકાશે. ભરતી માટે 200 માર્ક્સની એક્ઝામ લેવાશેધ ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (જીપીએસએસબી), ગાંધીનગર દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિર સિવિલ-ક્લાસ-3ની 350 પોસ્ટની ભરતી માટે 200 માર્ક્સની એક્ઝામ લેવાશે. જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35, ગુજરાતી ગ્રામરના 20, અંગ્રેજી ભાષા અને ગ્રામરના 20,મેથ્સ, રીઝનિંગ,ડેટા ઈન્ટરપ્રિટેશનના 25, ટેકનિકલ-સબ્જેક્ટ નોલેજ (સિવિલ એન્જિનિયરિંગ)ના 100 મળી કુલ 200 માર્ક્સની એક્ઝામ લેવાશે. શૈક્ષણિક અભિયોગ્યતા• ડિપ્લોમા ઈન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ, • ડિપ્લોમા ઈન સિવિલ (કન્સ્ટ્રક્શન), • ડિપ્લોમા ઈન કન્સ્ટ્રશન ટેકનોલોજી, • ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ (પબ્લિક હેલ્થ, એન્વાયર્મેન્ટલ, પોલ્યુશન કન્ટ્રોલ, રૂરલ, • ટ્રાન્સપોર્ટેશન, એન્વાયાર્મેન્ટલ એન્જિનિયરિંગ પોસ્ટની વિગત

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:24 am

રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા જાહેરાત:PG સ્તરની 5810 જગ્યા માટે 20 નવેમ્બર સુધી અરજીની તક

રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (એનટીપીસી) લેવલની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે કરાયેલી જાહેરાત અનુસાર સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ટ્રાફિક અસિસ્ટન્ટ, ચીફ કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઈઝર, સિનિયર ક્લાર્ક અને ટાઇપિસ્ટ, જુનિયર અકાઉન્ટ સહિતની કુલ 5810 પોસ્ટ પર ભરતી કરાશે. આ પોસ્ટ માટે એપ્લિકેશનની પ્રક્રિયા 21મી ઓક્ટોબર, 2025થી શરૂ થઈ છે, એપ્લિકેશનની પ્રક્રિયા 20મી નવેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www. rrbapply.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે. ફોર્મ સબમિટ કર્યા પછી 22 નવેમ્બર સુધી ફી ચુકવણી કરી શકશે. અરજી માટે યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવી આવશ્યક છે. ઉંમર મર્યાદા 18–33 વર્ષ છે, જ્યારે આરક્ષિત વર્ગને નિયમ અનુસાર છૂટ મળશે. ઉમેદવારોની પસંદગી માટે CBT-1, CBT-2, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ યોજાશે. પગાર બેઝિક પે 25,500–35,400/- સાથે અન્ય એલાઉન્સ આપવામાં આવશે. આ ભરતી દેશભરમાં રેલવેમાં કોન્ટ્રાક્ટ અને સ્ટેશન કામ માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર સ્થિર સરકારી નોકરીની શોધમાં છે, તેઓ આ તકનો લાભ લઈ શકે છે. વેબસાઇટ www.rrbapply.gov.in પર હોમપેજ પર NTPC ગ્રેજ્યુએટ લેવલ પદની લિંક પર ક્લિક કરો. પછી રજિસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. ત્યાર પછી માહિતી તપાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો. અરજી ફી ચુકવણી છેલ્લી 22 નવેમ્બર સુધી કરો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:22 am

ફરિયાદ:પાંડેસરામાં સાવકા પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારતાં ધરપકડ

એક વર્ષ પહેલા માતાના ઘરે રહેવા આ‌વેલી 14 વર્ષની સગીરા પર સાવકા પિતાએ વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાઇ છે. દિવાળીમાં સગીરાએ માતાના ઘરે જવાનો ઇન્કાર કરી સગીરાએ માસીને સઘળી હકિકત જણાવી હતી. આ અંગે મળેલી માહિતી મુજબ પાંડેસરામાં બિહારી પરિવાર રહે છે. માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી 14 વર્ષની દિકરી વડોદરા માસી સાથે રહે છે. જ્યારે તેણીના બે ભાઇઓ વતન બિહારમાં રહે છે. ગત વર્ષે દિવાળીનો તહેવાર હોવાથી 14 વર્ષની સગીરા તા.29-10-2024થી 9-1-2024 દરમિયાન સુરત પાંડેસરા વિસ્તારમાં માતાના ઘરે રહેવા માટે આવી હતી. દરમિયાનમાં સાવકા પિતાની તેની પર દાનત બગડી હતી. જ્યારે માતા મજુરી કામ માટે બહાર જતી હતી. આ દરમિયાનમાં પિતાએ સગીર દિકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને કહશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે પિતાએ સગીરા પર 10થી 15 વખત બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાથી સગીરા ગભરાઇ ગઇ હતી. જોકે, બાદમાં તે માસીના ઘરે પરત ગઇ હતી. દિવાળીનો તહેવાર આવતો હોવાથી માતાએ સગીર દિકરીને પોતાના ઘરે બોલાવી હતી. દીકરીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે માસીએ પ્રેમથી સગીરાને પુછતા તેણીએ પિતા દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર અંગે માસીને વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:13 am

રેલ મંત્રીની સૂચના:દિવાળી સહિતની સ્પે.ટ્રેન સમયસર પહોંચે તે માટે રેલ મંત્રીની સૂચના

દેશવાસીઓ દિવાળી પર્વ પરિવાર સાથે મનાવી શકે તે માટે ભારતીય રેલવેના 12 લાખથી વધુ કર્મી 24 કલાક કામ કરી રહ્યા છે. વતન જતા લોકોને અગવ઼ડ ન પડે તે માટે રેલમંત્રી અશ્વીની વૈષ્ણવ રેલ ભવનમાં આવેલા વોર રૂમથી વડોદરા સહિત દેશનાં તમામ સ્ટેશન પર નજર રાખી રહ્યા છે. તેમણે પૂર્વોત્તર રેલવે, પૂર્વ મધ્ય રેલવે તેમજ પૂર્વ રેલવેના વરીષ્ઠ અધિકારીઓની સાથે આ અંગે વાતચીત કરી ટ્રેન સમયસર પહોંચે તે માટે પણ નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેએ રેલ કર્મીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પશ્ચિમ રેલવેનું વડોદરા ડિવિઝન નિયમિત ટ્રેનો ઉપરાંત ખાસ ટ્રેનો ચલાવી રહ્યું છે, જેથી લોકો દિવાળી ઊજવવા સમયસર ઘરે પહોંચી શકે. વડોદરાના સ્ટેશન માસ્ટર, ટિકિટ ચેકર, બુકિંગ સ્ટાફ, ટ્રેકમેન, લોકો પાઇલટ, ટ્રેન મેનેજર, રેલવે સુરક્ષા દળના કર્મી, સ્વચ્છતા કર્મચારીઓ સહિત દરેક જણ આ તહેવારોની મોસમમાં મુસાફરી સુરક્ષિત રહે અને પરિવાર સાથે દિવાળી અને છઠ ઊજવી શકે તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. ડીઆરએમે વડોદરા સ્ટેશન પર ટ્રેકમેન, સિગ્નલમેન, સફાઈ કામદારો, રેલવે સહાયકોને મીઠાઈનું વિતરણ પણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:09 am

જાનહાનિ થઈ નહોતી:દિવાળી પર્વે તરસાલી સહિત આગના 38 બનાવ લક્ષ્મીપુરામાં બિલ્ડિંગની આખી ગ્રીન નેટ સળગી

દિવાળીના દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. વિવિધ વિસ્તારમાંથી દિવાળીના દિવસે આગના 38 કોલ ફાયરબ્રિગેડને મળ્યા છે. જેને પગલે લાશ્કરોની ટીમ સતત દોડતી રહી હતી. સદનસીબે જાનહાનિ થઈ ન હતી. આગામી દિવસોમાં પણ ફાયરબ્રિગેડ 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે. દિવાળી પર્વ દરમિયાન સામાન્ય રીતે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જેને કારણે ફાયરબ્રિગેડ 24 કલાક ખડેપગે રહ્યું હતું. દિવાળી પર્વે શહેરમાં આગના 38 બનાવ બન્યા હતા. જેમાં લક્ષ્મીપુરામાં સાફલ્ય ફ્લેટનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં લગાવેલી ગ્રીન નેટમાં આગ લાગી હતી. જોતજોતામાં આખી નેટ સળગવા લાગતાં લોકોમાં દોડધામ મચી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં લાશ્કરો દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. બીજી બાજુ તરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂમાં મેળવ્યો હતો, જેથી રહીશોએ રાહતના શ્વાસ લીધા હતા. જ્યારે મકરપુરા ડેપો પાસે સ્ટેરી હાઈટ્સ ફ્લેટની અગાસીમાં આગ લાગી છે તેવો કોલ મળતાં લાશ્કરો તાત્કાલિક પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાને કારણે આગ લાગી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના અપાઈ છે. બાપોદમાં ઘરના ફર્નિચરનાં લાકડામાં ફટાકડાથી આગબાપોદ વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીના ઘરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મકાનની ગેલેરીમાં લાકડા પડ્યા હતા અને નજીકમાં જ ફટાકડા ફુટતા હોવાને કારણે લાકડામાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:07 am

લોકોને દુર્ગંધથી રાહત:વાસણા તળાવથી જકાતનાકા સુધી કાંસ પર સ્લેબ ભરાશે,રહીશોને દુર્ગંધથી મુક્તિ મળશે

ઉંડેરાથી બિલ ગામ તરફ જતી ખુલ્લી વરસાદી કાંસ પર ઠેર-ઠેર સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી 1.28 કરોડના ખર્ચે કાંસ પર સ્લેબ ભરવાનું શરૂ કરાશે. સ્થાયી સમિતિની બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી હતી. વરસાદી ખુલ્લી કાંસ પર સ્લેબ ભરવાથી આસપાસની સોસાયટીના રહીશોને દુર્ગંધથી રાહત મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ઉંડેરાથી ભાયલી થઈ બિલ ગામ તરફ વરસાદી ખુલ્લી કાંસ બનાવાઈ છે. જોકે બારેમાસ આ કાંસમાં ગટરનાં પાણી વહેતાં હોવાથી ભારે દુર્ગંધથી આસપાસ રહેતા રહીશોને ભારે પરેશાની ભોગવવી પડે છે. સાથે કાંસ ખુલ્લી હોવાથી અનેકવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેને પગલે અનેક ઠેકાણે કાંસ પર સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે જ રીતે વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વરસાદી ખુલ્લી કાંસ પર સ્લેબ ભરવા માટેનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મૂકાયું હતું. સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી છે. રૂા.1.28 કરોડના ખર્ચે થનારા આ કામથી આસપાસના લોકોને દુર્ગંધથી રાહત મળશે. વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી 320 મીટરમાં આરસીસી બીમ સાથે કાંસ પર સ્લેબ ભરવાનું ટૂંક સમયમાં શરૂ કરાશે. નોંધનીય છે કે, ભારે વરસાદની સ્થિતિમાં કાંસમાં પાણી ભરાતાં લોકોને જોખમ ઊભું થતું હોય છે. આ અંગે લોકોની રજૂઆત બાદ સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ નિર્ણય લીધો છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:05 am

ભાસ્કર એક્સક્લુસિવ:વિદ્યાર્થીઓ નિર્ભિક, સુરક્ષિત, તણાવમુક્ત રહે તે માટે વિશ્વકર્મા કૉલેજમાં ચૈતન્ય કેન્દ્ર ઊભું કરાશે

ચાંદખેડા વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ (વીજીઈસી) : ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણીના હેતુસર દિવાળી બાદ ‘ચૈતન્ય કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવનાર છે. કોલેજ-હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સુરક્ષિત, નિર્ભય, તણાવમુકત બનીને અભ્યાસ કરી શકે તે માટેની કામગીરી કરશે. કોલેજ-હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સુરક્ષિત, નિર્ભય, તણાવમુકત બનીને અભ્યાસ કરી શકે તે માટે આ કેન્દ્ર કામગીરી કરશે. આજના યુગમાં યુવાનો માત્ર શૈક્ષણિક પડકારો જ નહી, પરંતુ ઝડપથી બદલાતા સોશિયલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત દિન ચર્યા, વૈશ્વિક સ્પર્ધા, સાથીદારોના દબાણ અને અનિશ્ચિત ભવિષ્યનો પણ સામનો કરી રહ્યા છે. તેની ઓળખ કરીને વિશ્વકર્મા એન્જિનિયરીગં કોલેજના વિદ્યાર્થીઓના માનસિક-સ્વાસ્થ્ય, મજબૂત મનોબળ અને માનસિક સુખાકારીને ટેકો આપવા આ પહેલ કરાઈ છે. આજના બદલાતા યુગમાં ટેકનોલોજી, એઆઈ ટ્રાન્સફોર્મેશન,સોશિયલ મીડિયા યુવાનોના મન પર સીધી અસર કરે છે. વિદ્યાર્થીઓ માનસિક અસાધારણ દબાણનો સામનો કરે છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને વીજીઈસીએ મેન્ટલ હેલ્થ એન્ડ વેલ બીંગ કમિટીની રચના કરી છે. જેમાં અનુભવી ફેકલ્ટીસ, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલિંગ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ખુલ્લા હૃદયથી વાત કરે તે માટે કેન્દ્ર સ્થપાયું‘વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ મેનેજમેન્ટ તરીકે અમારુ દ્રઢપણે માનવુ છે કે કોલેજમાં એકેડમિક એક્સેલનસ સાથે ઈમોશનલ અને મેન્ટલ વેલ બિંઇગ પણ એટલું જ મહત્વનુ છે. આજના સ્પર્ધાત્મક માહોલમાં,ડિજિટલ ઓવરલોડ અને તણાવની વચ્ચે વિદ્યાર્થીઓને એવી સુરક્ષિત જગ્યા જોઈએ જ્યાં ખુલ્લા હૃદયથી વાત કરી શકે અને માનસિક તણાવને લગતા પ્રશ્નોના ઉકેલનુ માર્ગદર્શન મેળવીને માનસિક સંતુલન પાછું મેળવી શકે. ‘ચૈતન્ય કેન્દ્ર’ આ દિશામાં વીજીઈસીનો એક પ્રતિબદ્ધ પ્રયાસ છે. -ડો વિનય એસ પુરાણી, પ્રિન્સિપાલ, વીજીઈસી કોલેજ, ચાંદખેડા ‘ચૈતન્ય ’ કેન્દ્રના ઉદ્દેશ• તણાવ- સમસ્યાને લગતુ ખુલ્લા દિલથી માર્ગદર્શન : વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત નિર્ભય, આઘાત મુક્ત વાતાવરણ.• સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ-ઈમોશનલ ઈન્ટેલિજન્સની જાળવણીનું માર્ગદર્શન : સોશિયલ મીડિયાના મર્યાદિત ઉપયોગ અંગે નિયમિત વર્કશોપ. • નિષ્ણાતોના માધ્યમથી ઉપયોગી માર્ગદર્શન : જાણીતા સાયકોલોજિસ્ટ, સાઈકિયાટ્રિસ્ટ, હેલ્થ એક્સપર્ટસના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે તણાવને લગતી બાબતોનુ કાઉન્સેલિંગ કરાશે. • આત્મહત્યાની વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓની પહેલાથી ઓળખ કરીને માર્ગદર્શન આપવું: આત્મહત્યાની વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓની સમયસર ઓળખ કરીને અને આવશ્યક સાયકોલોજિકલ માર્ગદર્શન આપવું. • વિદ્યાર્થીઓને ભાવનાત્મક સપોર્ટ મળે તે પ્રકારના પગલા લેવા-વ્યવસ્થા કરવી : કોલેજમાં વિદ્યાર્થીઓને ભાવનાત્મક સપોર્ટ મળે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:00 am

એપ્રિલ-2026થી રાજકોટમાં સિંહ દર્શન, ગીર જવું નહીં પડે:લાયન સફારી પાર્ક માટે ગાઢ જંગલ અને કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ, ફૂડ પ્લાઝા સહિતની સુવિધાનું કામ પૂરજોશમાં

ગુજરાતનાં લોકો સામાન્ય રીતે સિંહ જોવા માટે સાસણ જતા હોય છે. અને ત્યાં જંગલ સફારીનો આનંદ માણતા હોય છે. આ માટે મોટી સંખ્યામાં લોકો અગાઉથી બુકીંગ પણ કરાવે છે. જોકે રંગીલા રાજકોટીયનોએ હવે સિંહ જોવા માટે સાસણ જવાની જરૂર પડશે નહીં. કારણ કે, મનપા દ્વારા રૂ. 44 કરોડનાં ખર્ચે પ્રદ્યુમન પાર્ક ઝૂ પાછળ 29 હેક્ટર જગ્યામાં 'લાયન સફારી પાર્કનું નિર્માણ કરાઈ રહ્યું છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપ્યા બાદ તરત જ કામગીરી શરૂ થતાં 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ કામગીરીને 7 તબક્કામાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં ગાઢ જંગલ માટે વૃક્ષો વાવવા સહિતનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેને લઈને એપ્રિલ-2026માં 'લાયન સફારી પાર્ક ખુલ્લું મુકવામાં આવે તેવી પુરી શક્યતા છે. 4 તબક્કાનું કામ પૂર્ણરાજકોટમાં પ્રવાસનને વેગ આપવા તેમજ શહેરીજનોને હરવા-ફરવા માટેનું વધુ એક નજરાણું મળી રહે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ આવેલી મહાપાલિકાની 29 હેક્ટર જગ્યા ઉપર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કરાઈ હતી. કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ આ પાર્કના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે. સાત તબક્કામાં શરૂ કરાયેલા આ કામના ચાર તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ક્યા કામ પૂર્ણ થયા અને ક્યા કામ ચાલી રહ્યા છે?પ્રાપ્ત વિગત મુજબ 'લાયન સફારી પાર્ક'નું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા જૂન-2026 છે. પરંતુ માર્ચ-2026 સુધીમાં જ કામ પૂર્ણ થઈ જાય તેવું લાગી રહ્યું છે. જેને લઈને આગામી એપ્રિલ-2026થી રાજકોટ શહેરમાં જ સફારીનો આનંદ માણી શકાશે. સાત તબક્કામાંથી ચેઈન લિન્ક ફેન્સિગ તેમજ કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેકશન પાથ, ઈન્ટરનલ રોડ, ટુ-વે ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર (રાત્રિના સમયે રહેવાની સુવિધા), જીએસઆર, એન્ટ્રન્સ પ્લાઝા સહિતનું કામ ચાલી રહ્યું છે. જે તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે. તેની પાછળ રૂ. 27.57 કરોડનો ખર્ચ થયો છે. 5500 મીટરને ફેન્સિગ અને 2.75 મીટર ઉંચી દિવાલસફારી પાર્કની ચોતરફ કમ્પાઉન્ડ વોલ બનાવી છે. જે મુખ્ય રીતે બે પ્રકારની છે. ઈંટોથી બનનારી દીવાલ 2.75 મીટર ઊંચી છે. જ્યારે આ દીવાલની લંબાઈ 3500 મીટર છે. જ્યારે રાંદરડા તળાવના કાંઠા તરફ RCCની દીવાલ બનાવવામાં આવી છે. આ દીવાલની લંબાઈ 1 હજાર મીટર છે. આ ઉપરાંત જ્યાં સિંહોને રાખવામાં આવશે તેની ચોતરફ ચેઈનલિંક ફેન્સિંગ કરવામાં આવ્યું છે. આ જાળી 5 મીટર ઊંચી તથા તેની લંબાઈ 5500 મીટરની છે.સફારી પાર્કની કમ્પાઉન્ડ વોલ તેમજ ચેઈનલિંક ફેન્સિંગ વચ્ચે ઇન્સ્પેક્શન રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડની પહોળાઈ 5 મીટર રાખવામાં આવી છે. સિંહ બહાર ન આવી શકે તે માટે કમ્પાઉન્ડ વોલઆ અંગે મનપાનાં સિટી એન્જિનિયર મનોજ શ્રીવાસ્તવનાં જણાવ્યા મુજબ હાલમાં આપણે જે લાયન સફારી પાર્કનું લોકેશન છે, એ પ્રદ્યુમન પાર્કની બિલકુલ પાછળ રસ્તા ઉપર જઈએ ત્યાં જ છે. આનો કુલ એરિયા 29 હેક્ટર છે અને એમાં જમીનના સર્વે નંબર 144, 145 અને 150 આવે છે. કામગીરીની વાત કરીએ તો એને 7 સેગમેન્ટમાં ડિવાઇડ કરેલી છે. સૌથી પહેલો સેગમેન્ટ એ હતો કે કમ્પાઉન્ડ વોલ બનાવવાની. કમ્પાઉન્ડ વોલ અને ચેઈન લિંક જાળી. અંદર ચેઈન લિંક જાળી હોય, બહાર કમ્પાઉન્ડ વોલ. કમ્પાઉન્ડ વોલ જેથી કોઈ બહારથી એન્ટ્રી ન લઇ શકે અને અંદર ચેઈન લિંક જાળી. જેથી સિંહ બહાર ન આવી શકે. એના વચ્ચેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લાલપરી રાંદલ લેકથી પાણી આવશેબીજી વ્યવસ્થા છે કે ચેઈન લિંક જાળી અને કમ્પાઉન્ડ વોલ વચ્ચે ઇન્સ્પેક્શન પાથ બનાવવામાં આવે, જેથી આપણે બધા જોઈ શકીએ. આપણે જાળીની અંદર ગયા વિના પણ જોઈ શકીએ કે લાયન ક્યાં ફરી રહ્યો છે, શું છે શું નહીં, બધું જોઈ શકાય તેના માટે ઇન્સ્પેક્શન પાથની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. એના પછી આગળ જઈએ તો જીએસઆર (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) પાણી પણ જોઈએ, ઝાડવાનું ત્યાં પ્લાન્ટેશન થઈ ગયું છે. હવે ઝાડવાને પાણી તો જોઈએ ને! તો લાલપરી રાંદલ લેકથી જ પાણી લેવાનું છે. લાલપરીથી પમ્પિંગ કરીને ડીઆઇ પાઈપલાઈનથી અને જીએસઆર બનાવીને પછી જીએસઆરથી ગ્રેવિટીથી બધાને પાણી મળી જશે. હાલ એ કામગીરી ચાલુ છે. એ લગભગ 2 થી 3 મહિના જેવો સમય લાગશે. પછી ચોથી બાબત આવે એ નાઇટ શેલ્ટર બનાવવું. કેમ કે સિંહોને રહેવા માટે જગ્યા પણ જોઈએ. એના માટે નાઇટ શેલ્ટર હોય, એની જગ્યા હોય, એના બાજુમાં ઇસ્પ્રોલ હોય, જેમાં આપણે લોકો ફરી પણ શકીએ બહારની સાઈડ, જેથી કોઈને તકલીફ થાય નહીં. પાર્કિંગથી લઈ ફૂડ પ્લાઝાની કામગીરી પૂરજોશમાંસફારી કોઈપણ જોવા જાય તો ઇન્ટર્નલ રોડ્સ પણ હોવો જોઈએ. જ્યાં કેમ્પસ અંદર પહોંચ્યા પછી એમાં પણ બસો જાય, એના રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે જે મેઈન કામગીરી રહી ગઈ છે એ એન્ટ્રન્સ પ્લાઝાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ જ હોય છે. કેમકે ત્યાં એન્ટ્રી હોય, ત્યાં તમે બેસી શકો, પાર્કિંગ માટે સુવિધા હોય, ફૂડ પ્લાઝા હોય, ટિકિટિંગ હોય, સ્કલ્પચર વગેરે હોય છે. તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા હોય એ બનાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. જે પણ લગભગ 35% પૂર્ણ થઈ છે. 44 કરોડમાંથી 27 કરોડનો ખર્ચ થઈ ગયોલાયન સફારી પાર્ક'નો કુલ ખર્ચ રૂ.44 કરોડ જેટલો છે. જે પૈકી અત્યારે રૂ.27 કરોડ જેટલો ખર્ચ થઈ ગયો છે. માર્ચના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે. જેથી એપ્રિલ 2026 સુધીમાં 'લાયન સફારી પાર્ક' ખુલ્લો મુકવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. સફારી પાર્ક બની જાય પછી લોકોને સાસણ જવાની જરૂર નહીં પડે એવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, 'લાયન સફારી પાર્ક'માં સહેલાણીઓને ફરવાનું સ્થળ તો મળી જ રહેશે. સાથે જ સાસણમાં જે પ્રકારે સિંહદર્શન થાય છે તેમ અહીં પણ સિંહદર્શન કરી શકાશે. ઉપરાંત સિંહોનાં સંરક્ષણ-સંવર્ધનનાં પ્રયત્નમાં પણ વધારો થઈ શકશે. પ્રાણીઓ માટે અહીં પીવાના પાણીના તળાવ બનશે તો ખુલ્લામાં પ્રાણીઓ વિહાર કરી શકે તેમજ પ્રાણીઓનું લોકેશન ટ્રેસ કરવા માટે ઈન્ટરકનેક્ટેડ પણ રાખવામાં આવશે. લાયન સફારી પાર્કમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, રેસ્ટીગ શેડ, બાળકો માટેનું પ્લે ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:00 am

4 મોબાઇલ સાથે સ્વીચ ઓફ અને ઓન થતા કેસ ઉકેલાયો:પોલીસનો દાવો ખેતરમાં ખાડો પૂરવા આવેલા યુવાનોએ હત્યા કરી, આરોપીઓ નિર્દોષ કેમ છૂટ્યા?

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પહાડ ગામે હાઇવે પરથી એક વૃદ્ધની લાશ મળી હતી. લાશથી થોડે દૂર જ એક્ટિવા પડ્યું હતું. એક વ્યક્તિએ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. નજીકમાં આવેલા માંગુ ગામમાંથી એક યુવાને આવીને મૃતકની ઓળખ શનાભાઇ તરીકે કરી હતી. શનાભાઇ હેડ કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાંથી રિટાયર થયા હતા. શનાભાઇના પુત્ર રાજેન્દ્ર બારિયા વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતા હતા. જે દિવસે શનાભાઇની લાશ મળી એ જ દિવસે પુત્ર રાજેન્દ્ર બારિયાને PIમાંથી DySPનું પ્રમોશન મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે કરેલી તપાસ બાદ આ અકસ્માત નહીં પણ હત્યા હોવાની શંકા ગઇ. જેથી હવે પોલીસે એ દિશામાં તપાસ આગળ વધારી હતી. પોલીસની તપાસમાં શું ખુલાસા થવાના હતા? વાંચો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં. (પહેલો એપિસોડ વાંચવા અહીં ક્લીક કરો) તમામ લાગતા વળગતા લોકોની પૂછપરછ શરૂ થઇ. ઘણા બધાની તપાસ થઇ પણ કોઇ કડી મળતી નહોતી. મૃતક શનાભાઇ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયા પછી રોજ ખેતરે જતા. ખેતી કામ કરતા અને ઘરે આવી જતા. ઘરે આવીને પોતાનું જમવાનું બનાવે એ જ એમનું રૂટિન હતું. કામ પણ મજૂરીથી કરાવતા. એ ફક્ત દેખરેખ જ રાખતા. કોઇની સાથે ઝઘડો નહોતો તો કોણ મર્ડર કરી શકે? આ મોટો સવાલ હતો. સૌથી છેલ્લે શનાભાઇના ખેતરમાં કામ કરવા આવતા સદ્દામ ઉર્ફે શેદ ઝાકીરહુસેન ઘોરી, અલ્તાફ ઝાકીરહુસેન ઘોરી, અશરફખાન રસૂલખાન ઘોરી અને એક સગીર પર શંકાની સોય ગઇ. પોલીસે આ ચારેયને દબોચ્યા અને તેમની પૂછપરછ કરી. ત્યારે એમણે કહ્યું કે અમે તો સાંજે અમારૂં મજૂરીકામ પતાવીને આવતા રહ્યા હતા. તેમના હાવભાવ પણ એવા જ હતા કે પોલીસ કંઇ કળી ન શકી એટલે પૂછપરછ કરીને તેમને જવા દીધા. પોલીસને શંકા તો હતી જ એટલે હવે આગળ શું કરવું તે વિચારતી હતી. બીજીતરફ ટેકનિકલ એનાલિસિસ પણ શરૂ કર્યું. પોલીસની તપાસ મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. ટેકનિકલ એનાલિસિસમાં પોલીસને જાણવા મળ્યું કે ચારેય ખેતમજૂરો ઘરેથી નીકળ્યા ત્યારે તેમના નંબર સ્વીચ ઓફ હતા પણ શનાભાઇની હત્યા થયા બાદ મોબાઇલ ચાલુ થયા હતા. બસ આ જ વાતથી પોલીસને પાક્કી ખાતરી થઇ ગઇ કે આ ચારેય જ આરોપી છે. પોલીસે જ્યારે તેમને જવા દીધા હતા ત્યારે એ ચારેય જૂની આઇશર લેવા માટે આણંદ તરફ ગયા હતા. એક વાર જતાં કર્યા પછી હવે પોલીસને ડર હતો કે એકવાર છોડ્યા છે તો આ લોકો ક્યાંક ભાગી ન જાય એટલે પોલીસે પોતાની રીતે પગલાં લેવાના શરૂ કરી દીધા હતા. પોલીસને ખબર પડી કે ચારેય આ રસ્તેથી પસાર થવાના છે એટલે તરત જ વોચ ગોઠવી દીધી. રસ્તા પર બેરીકેડ લગાવી દીધા. થોડી જ વારમાં એ ચારેય ત્યાં આવી પહોંચ્યા અને પોલીસે પકડી લીધા. પકડીને સીધા જ પોલીસ સ્ટેશન લઇ ગયા. પોલીસ સ્ટેશનમાં ફરીથી પૂછપરછ શરૂ થઇ પરંતુ ચારેય હજુ પોતાનો ગુનો કબૂલવા તૈયાર નહોતા. આગળની પૂછપરછમાં પોલીસ એક એવો સવાલ કરવાની હતી જેનાથી ચારેય પાસે કોઇ રસ્તો બચવાનો નહોતો. પોલીસે સવાલ કર્યો કે તમારે બધાએ એકસાથે ફોન બંધ કરવાની શું જરૂર પડી? બસ આ સવાલથી ચારેય ભાંગી પડ્યા. પૂછપરછમાં કબૂલી લીધું કે હા, અમે જ શનાભાઇનું મર્ડર કર્યું છે. હવે પોલીસની પૂછપરછમાં એક પછી એક ખુલાસા થવાના હતા. ચારેયે પોલીસને જે જણાવ્યું તે પ્રમાણે, શનાભાઇ નિવૃત્તિ બાદ ગામમાં એકલા રહેતા હતા અને ખેતર સંભાળતા હતા. 4 વર્ષ અગાઉ તેમણે પોતાનું ખેતર જૂના મિત્ર ઝાકીરહુસેનને ભાગમાં ખેડવા આપ્યું હતું. જેના બદલામાં ઝાકીરહુસેન વાર્ષિક 25 હજાર રૂપિયા આપતા હતા. આ દરમિયાન ઝાકીરહુસેનના કાસોટિયા ગામે રહેતા એક મિત્ર મથુરભાઇ વસાવાને કોઇ સામાન લેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડી હતી. જેના પગલે ઝાકીરહુસેને 2 વર્ષ પહેલાં શનાભાઇને વાત કરીને પોતાના મિત્ર મથુરભાઇને 1.30 લાખ રૂપિયા ઉછીના અપાવ્યા હતા. આ રૂપિયા જ આગળ જતાં શનાભાઇની હત્યાનું કારણ બનવાના હતા. ઉછીના રૂપિયા લીધા બાદ મથુરભાઇએ શનાભાઇને રૂપિયા પાછા આપ્યા નહોતા. જ્યારે ખેતર ખેડવા બદલ ઝાકીરહુસેને પણ એક વર્ષના 25 હજાર રૂપિયા આપ્યા નહોતા. આમ બેયબાજુથી રૂપિયા ફસાઇ જતાં શનાભાઇ વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. શનાભાઇ સીધી રીતે મથુરભાઇને ઓળખતા નહોતા પણ ઝાકીરહુસેનના કારણે તેની સાથે ઓળખાણ થઇ હતી. હવે મથુરભાઇ પૈસા આપતા નહોતા એટલે શનાભાઇએ તેના 1.30 લાખ રૂપિયા અને ખેતર ખેડવાના 25 હજાર રૂપિયા એમ કુલ 1.55 લાખ રૂપિયા ઝાકીરહુસેન અને તેના પુત્ર સદ્દામ પાસે માંગવાનું ચાલુ કર્યું હતું. 21 વર્ષનો સદ્દામ લીમપુરા ચોકડી ખાતે ચીકનની દુકાન ચલાવતો હતો. શનાભાઇ દરરોજ તેની દુકાને મટન લેવા જતાં હતા. શનાભાઇ દરરોજ તેને કહેતા કે તારી દુકાન ગેરકાયદેસર છે, અહીંયાથી હટાવી લેજે. તારા પિતા મારી જમીનનો ભાગ અને મથુરભાઇને આપેલા રૂપિયા પાછા કેમ નથી આપતા? હત્યાના 2 મહિના પહેલાં સદ્દામ પોતાની દુકાન પર મિત્ર સાથે બેઠો હતો ત્યારે શનાભાઇ ત્યાં ચિકન લેવા આવ્યા હતા. એ સમયે ઘણા ગ્રાહકો ત્યાં હાજર હતા પણ ચિકન પૂરૂં થઇ ગયું હતું. શનાભાઇએ બધાની વચ્ચે સદ્દામને ધમકાવ્યો હતો. કહ્યું હતું તારી દુકાન ગેરકાયદેસર છે, અહીંયાથી હટાવી લેજે. આમ કહીને તેને અપશબ્દો કહ્યાં હતા. આટલેથી શનાભાઇનો ગુસ્સો શાંત થયો નહોતો એટલે સદ્દામને માર માર્યો હતો. આ જ ઘટનાથી સદ્દામને લાગી આવ્યું હતું. સદ્દામના ગામથી તેની દુકાન દૂર લીમપુરામાં હતી એટલે તેણે વિચાર્યું કે જો હું શનાભાઇને અહીંયા મારીશ તો ગામ લોકો મને માર મારીને દુકાન બંધ કરાવી દેશે. જો કે આ જ દિવસે સદ્દામે મનમાં ને મનમાં એક ખતરનાક પ્લાન વિચારી લીધો હતો. એ પ્લાન હતો શનાભાઇની હત્યાનો. શનાભાઇની હત્યાના આઠેક દિવસ પહેલાંની વાત છે. રાત્રે જમીને સદ્દામ પોતાના ભાઇ અલ્તાફ અને બીજા મિત્રો સાથે ગામના હોળી ચકલે બેઠો હતો. વાત વાતમાં તેણે બધાને કહ્યું કે શનાભાઇ વારંવાર અમારી પાસે ચાલુ વર્ષના ખેતર ખેડવાના 25 હજાર રૂપિયા અને મથુરભાઇને ઉછીના આપેલા રૂપિયા માંગે છે. તે દુકાન બંધ કરાવી દેવાની ધમકી પણ આપે છે. હવે કોઇ રસ્તો નથી, તેનું મર્ડર કરી નાખવું છે. જેથી તેને પૈસા આપવા ન પડે. સદ્દામની વાત સાંભળીને ભાઇ અલ્તાફે તેને પાછો વાળવાને બદલે સાથ આપ્યો. અલ્તાફે કહ્યું કે 10 દિવસ પહેલાં શનાભાઇ મને મળ્યા હતા અને ખેતરનો ખાડો પૂરવા માટે 4 લોકોને મોકલવાનું કહ્યું હતું. આપણે જ ખાડો પૂરવા જઇશું અને તેનું મર્ડર કરી નાખીશું. અલ્તાફની આ વાત બાદ બધાએ ભેગા મળી શનાભાઇના મર્ડરનો પ્લાન ઘડી નાખ્યો. કોણ કેવી રીતે શનાભાઇનો સંપર્ક કરશે, હત્યા શેનાથી કરવી, હત્યા કર્યા પછી શું કરવું આ બધું જ અગાઉથી વિચારી લીધું હતું. પ્લાન બનાવીને સૌ છુટા પડ્યા અને પોતાના ઘરે જતાં રહ્યાં. બીજા દિવસે સવારે સદ્દામે શનાભાઇને ફોન કર્યો. દાદા, તમારા ખેતરે ખાડો પૂરવા તમે 4 જણને બોલાવ્યા હતા ને? તો અમે 4 જણ અત્યારે નવરા જ છીએ. ક્યારે આવીએ?\હું ફોન કરું ત્યારે આવજો.આ જવાબ આપીને શનાભાઇએ ફોન મુકી દીધો. ત્રીજા દિવસે સવારે શનાભાઇએ સદ્દામને ફોન કરીને 'ખેતરે આવી જાઓ.' તેમ કહ્યું હતું. સદ્દામે આ વાત અન્ય 3ને કહી હતી. જેના પછી ચારેય મોટરસાયકલ પર બેસીને સવારે 11 વાગ્યે શનાભાઇના ખેતરે પહોંચ્યા હતા. આ સમયે શનાભાઇ ખેતરમાં હાજર હતા. ખેતરના શેઢે માટીનું ધોવાણ થયેલું હોવાથી ચારેયે ત્યાં માટી નાખવાનું શરૂ કર્યું હતું પણ હકીકતમાં તો આ ફક્ત એક દેખાડો હતો. ચારેય લોકોના મનમાં શનાભાઇની હત્યાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું, ચારેય યોગ્ય તક શોધી રહ્યા હતા પણ આસપાસના ખેતરોમાં અન્ય લોકો કામ કરતા હોવાથી આ ચારેયને શનાભાઇની હત્યા કરવાની તક નહોતી મળી. આમ કરતા કરતા સાંજ પડી ગઇ. એટલે જાણીજોઇને ચારેયે માટી નાખવાનું કામ બાકી રાખી દીધું કે જેથી કરીને બીજા દિવસે માટી પૂરવાના બહાને આવીને શનાભાઇની હત્યા કરી શકાય. 8મી તારીખે બપોરે ચારેક વાગ્યે ચારેય ગામના તડવીવાસમાં આવેલી જૂની આંગણવાડીમાં બેઠા હતા ત્યારે સદ્દામે ભાઇ અલ્તાફની આઇસરમાંથી એક વ્હીલ પાનું કાઢીને પોતાની સાથે રાખી લીધું અને શનાભાઇના ખેતરે પહોંચી ગયા. બાઇકને ખેતરના શેઢે મૂકી દીધી. અહીંથી જ સદ્દામે શનાભાઇને ફોન કર્યો. દાદા, અમે ચારેય માટી પૂરવા આવ્યા છીએ.શનાભાઇએ જવાબ આપ્યો, તમે બેસો હું આવું છું. ચારેય જણ શેઢા પર બેસી ગયા, 15 મિનિટ થઇ હશે ત્યાં શનાભાઇ એક્ટિવા લઇને ત્યાં પહોંચી ગયા અને ખેતરની ઓરડીમાંથી કોદાળી, પાવડા, તગારા કાઢીને ચારેયને આપ્યા. ચારેય એક કલાક સુધી માટી પૂરવાનું કામ કરતા રહ્યાં. હવે સાંજના 6 વાગી ચૂક્યા હતા, આસપાસના ખેતરમાં કોઇ નહોતું. ચારેય લોકો જે ઇરાદાથી ખેતરમાં આવ્યા હતા તે ઇરાદો હવે પૂરો થવાનો હતો. સદ્દામે પોતાની સાથે લાવેલું પાનું કાઢીને શનાભાઇને પાછળથી માથામાં ઘા માર્યો, અચાનક જ હુમલો થતાં શનાભાઇ કોતરમાં પડી ગયા. તેમને કંઇ ખબર પડે તે પહેલાં જ બીજાએ પાવડો લઇ શનાભાઇના માથામાં 2 ઘા મારી દીધા. શનાભાઇ સાવ બેભાન જેવા થઇ ગયા. અલ્તાફ અને અશરફે શનાભાઇનું ગળું દબાવી દેતા થોડી જ વારમાં તેમના રામ રમી ગયા. ચારેયે શનાભાઇ મરી ગયા છે તેની ખાતરી કરી અને ભેગા થઇને લાશને કોતરમાં થોડે આગળ મૂકી દીધી. તેમના ખિસ્સામાંથી ડાયરી અને મોબાઇલ તેમજ ગળામાંથી સોનાની ચેન કાઢી લઇને એક્ટિવાની ડેકીમાં મૂકી દીધા. જોકે હજુપણ અજવાળું હોવાથી ચારેય કંઇ જ બન્યું ન હોય તેમ ખાડો પૂરતા રહ્યાં હતા. ખાડો પૂરાઇ ગયા બાદ પાવડો, તગારા અને કોદાળી ઓરડીમાં મૂકી તાળું મારી દીધું અને ઘરે જવા રવાના થયા. ઘરે જતી વખતે અશરફે શનાભાઇની એક્ટિવા લીધી બાકીના ત્રણેય મોટર સાયકલ પર બેસી ગયા. દાજીપુરા ગામ જવાના રસ્તે પહોંચતા જ શનાભાઇની એક્ટિવા ત્યાં જ મૂકી દીધી હતી. ઘરે જઇને જમીને રાત્રે સાડા આઠ વાગ્યે બધા ફરી જૂના બાલ મંદિર પાસે ભેગા થયા. અશરફે કપાસ ભરવાની ગાંસડી અને અલ્તાફે આઇશરમાંથી ગોદડી લઇ લીધી. સદ્દામ અને અશરફ એક્ટિવા અને બાકીના બે મોટરસાયકલ લઇને નલિયા ગામ ગયા. નલિયા ગામના સરપંચ પ્રભાતભાઇના ઘરે જઇને કહ્યું કે મારે કાલે સવારે ટેમ્પો લેવા ખેડા જવાનું છે તો તમારી અલ્ટો કાર જોઇએ છે. અલ્તાફની બહેન નલિયા ગામના જ જુનેદ નામના યુવાનને પરણાવી હતી. જેથી સરપંચ અલ્તાફને ઓળખતા હતા. સરપંચે તેને ચાવી આપીને કહ્યું કે, કાર રોડ પરના ઘરે છે ત્યાંથી લઇ જજે. રોડ પર આવેલા સરપંચના ઘરેથી તેમની કાર લીધી. પહાડ ગામના બ્રિજના એક છેડે આવેલા કાળિયા ભૂતના મંદિરે એક્ટિવા મૂકીને ચારેય ગાડીમાં શનાભાઇના ખેતરે પહોંચ્યા. અંધારામાં કોતરમાં ઉતરીને લાશને ગાંસડી તથા ગોદડીમાં વીંટી લીધી ત્યાંથી એક ખેતરમાંથી બીજા ખેતરમાં થઇ લાશ ખેતરના શેઢે મૂકી દીધી. જ્યાં અલ્તાફ અલ્ટો લઇ આવતા તેમાં વચ્ચેની સીટ પર ગોઠવી દીધી. ગાડીમાં ગોઠવાયેલા ચારેય એક્ટિવા લેવા પાછા ગયા. જ્યાંથી પ્લાન અનુસાર કેશરપુરા પાટિયાથી પાછા જવાના હતા પરંતુ ત્યાં પોલીસને ઊભેલી જોતાં પ્લાન પડતો મૂકીને સીધા નલિયા ગામથી ચુડેશ્વર પાટિયા થઇ કેશરપુરા ગામના બસ સ્ટેન્ડે આવ્યા. અહીં ખુલ્લી જગ્યા મળતા પાનું લઇને એક્ટિવાને ગોબા પાડ્યા જેથી અકસ્માત થયો છે તેવું લાગે. ત્યાંથી ફરી પાછા પહાડ ગામના બ્રિજ પાસે આવીને અકસ્માત દેખાય એ રીતે એક્ટિવા અને લાશ ફેંકી દીધી. જ્યારે ડાયરી અને મોબાઇલ ફોન પુલ પરથી નીચે ફેંકી દીધા. અલ્ટોમાં પાછા ફરતા મોટર સાયકલ પણ લઇ લીધી. ખાલી ગાંસડીને ચુડેશ્વર ગામના એક ખેતર નજીક સળગાવી દીધી બાદમાં ચારેય કંઇ જ બન્યું ન હોય તેમ ઘરે જઇને ઊંઘી ગયા હતા. બીજા દિવસે સવારે હત્યાની ઘટના સામે આવતા આખા પંથકમાં હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં નવો ઘટસ્ફોટ એ થયો કે આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીરહુસેન પોતે હતો. તેના બંને પુત્રોએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે પિતા ઝાકીરહુસેને જ કહ્યું હતું કે તમે કોઇપણ હિસાબે શનાભાઇને પતાવી દો, બાકીનું હું જોઇ લઇશ. આ નિવેદનના આધારે પોલીસે ઝાકીરહુસેનને પણ પકડ્યો હતો. પોલીસ તપાસમાંએ પણ જાણવા મળ્યું કે 7 તારીખે સાંજે શનાભાઇ રૂપિયા લેવા ઝાકીરહુસેન પાસે ગયા હતા. જ્યાં ઝાકીરહુસેને શનાભાઇને કહ્યું હતું કે પૈસા મળશે નહીં અને ફરી અહીંયા આવ્યો તો પૂરો કરી નાખીશ. 8મી તારીખે જ્યારે શનાભાઇની હત્યા કરીને તેના બન્ને દીકરા ઘરે આવ્યા ત્યારે તેમણે ઝાકીરહુસેનને કહ્યું હતું કે અમે કામ પતાવીને આવ્યા છીએ. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 6:00 am

સિટી એન્કર:હવે ની-રિપ્લેસમેન્ટ પછી પણ પલાંઠી વાળી શકાશે, શહેરના સર્જને નવા ની-જોઇન્ટ વિકસાવી પિતાને નામે પેટન્ટ નોંધાવી

ચંદ્ર ની-ક્લિનીકના ચીફ ની-રિપ્લેસમેન્ટ સર્જન અને મેરિન્ગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક-જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના વડા કે. સી. મહેતાએ જણાવ્યું કે, ની જોઇન્ટની ડિઝાઇન બનાવીને પેટન્ટ મેળવતા પહેલાં એન્જિનિયરને સાથે રાખીને જોઇન્ટના વિવિધ પ્રકારના હજારો પાનામાં થ્રી-ડી પિક્ચર બનાવાયાં. આ પ્રોસસમાં 4 વર્ષનો સમય લાગ્યો. ભારત સહિત વિશ્વમાં ઘૂંટણના સાંધાની અત્યાર સુધી મોટા ભાગની ડિઝાઇન પશ્ચિમના દેશમાં વિકસાવેલી હોય છે, પરંતુ ભારત સહિત એશિયા-પેસિફિકના 100માંથી 90 દર્દીનો કોમન સવાલ હોય છે કે, ની-રિપ્લેસમેન્ટ પછી ‘પલાંઠી વાળીને બેસાશે કે નહિ’? આને ધ્યાનમાં રાખીને વર્ષ 2011માં ભારતની સાથે સમગ્ર એશિયા પેસિફિક અને વિશ્વમાં ની-રિપ્લેસમેન્ટના દર્દી માટે સર્જરી બાદ પલાંઠી વાળી બેસવાથી લઈ મૂવમેન્ટ સારી આવે તેવી ડિઝાઇન બનાવી હતી. ની જોઇન્ટની ડિઝાઇનને મારા પિતા ચંદ્રશંકર મહેતાને સમર્પિત કરવા ‘સીએચએમ’ નામથી 21 નવેમ્બર 2012માં ભારતમાં પેટન્ટ ફાઇલ કરી. ત્યાર બાદ અમેરિકા, યુરોપ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, ચીન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિતના 10 દેશમાં પેટન્ટ ફાઇલ કરી હતી, જેથી હવે કંપની આ જોઇન્ટને ‘સીએચએમ’ નામથી જ વેચશે તેવો કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મને સૌ પ્રથમ પેટન્ટની મંજૂરી અમેરિકાની પેટન્ટ ઓફિસના એક્ઝામિનર સાથેની વાતમાં જાણવા મળ્યું કે, આ જોઇન્ટ એક નોવેલ આઇડિયા છે, જેનાથી હાલના અન્ય સાંધા કરતાં દર્દીમાં વધુ સારી મૂવમેન્ટ આવી શકે છે. ત્યાર બાદ મારે અમેરિકાની ની જોઇન્ટ બનાવતી ટોપની કંપની સાથે વાટાઘાટો થઈ અને કંપનીના રિસર્ચ હેડ એલન રિચી અમેરિકાથી ભારત આવ્યા અને મીટિંગ થઇ હતી. સાઉથ કોરિયાની કંપનીએ પણ રસ દાખવ્યો હતો. (સમીર રાજપૂત સાથેની વાતચીતને આધારે)

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:57 am

કાંતિ અમૃતિયાએ ઉભી બજારે દોટ મુકી:રૂપાલા-સંઘવીની અલગ અલગ વાત, 'ભાઈ' કહેવાને લઈને વિચારોમાં ભેદ; કોંગ્રેસના નેતાની અમેરિકામાં દિવાળી!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:55 am

જરૂરિયાતમંદ લોકોને મકાનો પૂરા પાડવામાં આવશે:બે વર્ષમાં રૂ.1400 કરોડના ખર્ચે 10 હજારથી વધુ ગરીબ આવાસ બનશે

શહેરમાં વિવિધ ઝૂંપડાં રિડેવલપમેન્ટ ગરીબ આવાસ માટે આગામી બે વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1406 કરોડના ખર્ચે 10,244 મકાનો બનાવવામાં આવશે. આ યોજના માટે પીએમસી દ્વારા કેટલાંક ટેન્ડરો પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારમાં ઇડબ્લ્યુએસનાં 2,623 મકાન સ્લમ રિડેવલપમેન્ટના 2497 મકાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3,794 એલઆઈજી હેઠળ 1233 મકાન બનશે. શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મકાનો પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલાં મકાનો પણ જર્જરિત થયાં હોવાથી તે મકાનો પણ નવા બનાવવામાં આવશે આગામી દિવસોમાં શહેરના ચાંદખેડા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા, નરોડા, બાપુનગર, દાણીલીમડા, દૂધેશ્વર સહિતના વિસ્તારોમાં આ પ્રકારનાં મકાન બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:53 am

આખરે ન્યાય મળ્યા:વાડજનો યુવક અકસ્માતમાં દિવ્યાંગ થયો, 15 વર્ષે 27 લાખ વળતર મળશે

વાડજના મનસુખલાલ સોમૈયા રક્ષાબંધને મોટર સાઇકલ લઈ ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે આરટીઓ પાસે ઇનોવા કાર સાથે અકસ્માત થતા દિવ્યાંગ થયા હતા. આ કેસમાં વળતર ચૂકવવા તેમની પત્નીએ વિવિધ કોર્ટમાં અરજીઓ કરી હતી. માર્ગ અકસ્માત ટ્રિબ્યુનલે 10 લાખ વળતર આપવા કરેલા હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટમાં આ કેસમાં 34 મુદ્દત પડ્યા પછી બંને પક્ષે સમાધાન કરવા મંજૂરી અપાઈ હતી. કારના માલિકે કેસની પતાવટ માટે 50 લાખ વળતર ચૂકવવા તૈયારી બતાવી હતી. આ રકમથી મનસુખલાલે સંતોષ માનતા કોર્ટે 2 સપ્તાહમાં આરટીજીએસ દ્વારા પૈસા ચૂકવી દેવા અને બધી રિસિપ્ટ લઇને રૂબરૂ કોર્ટમાં બોલાવ્યા હતા. જે દિવસે કોર્ટની મુદ્દત હતી તે દિવસે જ કાર ચાલકનું સવારે અવસાન થયું હતું. જોકે તેમના વકીલે કોર્ટને ખાતરી આપી છે કે તેમનાં સંતાનોએ આ નાણાં પરત કરવા ખાતરી આપી છે. આ કેસની આખરી સુનાવણી 8 નવેમ્બરે છે. મનોજ શર્માની ઇનોવા કાર ગાંધીનગરથી અમદાવાદ આરટીઓ તરફ આવી રહી હતી ત્યારે રોંગ સાઇડમાં તે મનસુખલાલ સાથે અથડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:53 am

DLRમાં જમીન માપણી બે વર્ષથી પેન્ડિંગ:મ્યુનિ.એ કોમ્યુનિટી હોલની જગ્યા માગી, પરંતુ ડીએલઆરે માપણી ન કરતા કામગીરી અટકી પડી

મ્યુનિ.એ ચેનપુરમાં સરવે નંબર 227, 228ની 6443 ચોરસ મીટરની જમીન સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ પાસેથી માગી હતી. મગાયેલી જમીનમાં કોમ્યુનિટી હોલના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે. મ્યુનિએ માર્ચ 2024માં પત્ર લખ્યા બાદ સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમે અભિપ્રાય માટે સરકારને દરખાસ્ત મોકલી હતી. સરકાર કોઈ પણ જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરે ત્યારે જમીન માપણી બાદ તેનો કબજો સોંપે છે . જેને ધ્યાને રાખી સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ દ્વારા ડીએલઆર (ડિસ્ટ્રિક્ટ ઓફિસ ઓફ લેન્ડ રેકોર્ડ) વિભાગને જમીન માપણી માટે મોકલી આપી હતી. જમીન માપણી વિભાગે માપણી પ્રક્રિયા હજુ શરૂ ન કરતાં મ્યુનિ.ને જમીન સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે. ડિસ્ટ્રિક્ટ ઓફિસ ઓફ લેન્ડ રેકોર્ડે જમીન માપણીમાં મોડું કરતા આગળની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ઉપરાંત અન્ય એક જમીન જે રાજ્યના વન વિભાગને સોંપી હતી, તેના માટે ડીએલઆરે માપણીની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખી છે, જેથી રામોલની 1 લાખ ચોમીથી વધુની જમીન વન વિભાગને ટ્રાન્સફર કરાઈ નથી. DLRમાં જમીન માપણી બે વર્ષથી પેન્ડિંગકલેક્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, ડીએલઆર વિભાગે જમીન માપણીમાં ખૂબ વિલંબ કર્યો છે. કલેક્ટર કચેરીએ આપેલા માપણી કામમાં પણ ખૂબ મોડું કરાય છે, જેથી સરકારી જમીનના ઘણા પ્રોજેક્ટ મોડા પૂરા થાય છે. ડિસ્ટ્રિક્ટ ઓફિસ ઓફ લેન્ડ રેકોર્ડે જમીનોની માપણી અંગે જવાબ માગતા તેઓ સરકારી જવાબ આપી જવાબદારીમાંથી છટકવાની જ વાત કરે છે. ડીએલઆરને એક જમીન માપણી માટે સોંપી હતી, જે બે વર્ષથી પેન્ડિંગ પડી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:51 am

ભાસ્કર એક્સક્લુઝિવ:સ્ટ્રીટપોલના વાયરો ખુલ્લા રાખનારી એજન્સીઓને રૂ. 1.47 કરોડનો દંડ

નારોલમાં આવેલી મટનગલી ખાતે વીજ કરંટને કારણે ગત 14 સપ્ટેમ્બરના રોજ દંપતીના થયેલા મૃત્યુ બાદ મ્યુનિ. દ્વારા શહેરમાં વિવિધ વીજ પોલમાં ખુલ્લા વાયર રાખનારી એજન્સીઓને રૂ. 1.47 કરોડનો દંડ ફટકારાયો છે. તે ઉપરાંત આ અકસ્માતને કારણે કોન્ટ્રાક્ટરને પણ 25-25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નારોલ વિસ્તારમાં મટનગલી ખાતેથી પોતાના વાહન પર પસાર થતાં દંપતી રાજન સિંધવ અને તેમનાં પત્ની અંકિતાને પાણી ભરાયેલા રોડ પર વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટ બાબતે તપાસ કરવામાં આવી હતી. જોકે બાદમાં મ્યુનિ. દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જેમાં વીજ પોલમાં ખુલ્લા વાયરોની તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા અલગ અલગ વિસ્તારમાં આ‌વેલા વીજ પોલની ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની જવાબદારી અલગ અલગ ખાનગી કોન્ટ્રક્ટરને આપવામાં આવી છે ત્યારે જે વિસ્તારમાં વીજ પોલના તાર ખુલ્લા મળ્યા તે વિસ્તારમાં કોન્ટ્રાક્ટરને તંત્ર દ્વારા એક વીજ થાંભલા દીઠ રૂ. 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આ‌વ્યો છે. પ્રથામિક તપાસમાં જ શહેરમાં 300થી ‌વધારે વીજ પોલમાં જોખમી રીતે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા, જેમાં આ કોન્ટ્ર્ક્ટરોને તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આ‌વ્યો હતો. ઉલ્લેખનીય છેકે, બે વ્યક્તિનાં મૃત્યુ થયા તે જગ્યા પર જે એજન્સીની જવાબદારી હતી તેને મૃત્યુદીઠ રૂ. 25 લાખ લેખે 50 લાખ જેટલો દંડ ફટકારવામાં આ‌વ્યો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:46 am

એર ક્વોલિટી ઈન્ડેક્સ:દિવાળીએ શહેરીજનોએ આખી રાત ફટાકડા ફોડ્યા, વહેલી સવારે વાયુ પ્રદૂષણ 299 થયું

દિવાળીના તહેવાર દરમિયાન આખી રાત શહેરીજનોએ ફટાકડા ફોડતાં વડોદરાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 21 ઓક્ટોબરે વહેલી સવારે 5:04 કલાકે 299 પર પહોંચી ગયો હતો. જ્યારે મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંકડો 183 રહ્યો હતો. આમ મંગળવારના રોજ વહેલી સવારથી બપોર સુધી શહેરની હવાની ગુણવત્તા ખરાબ નોંધાઈ હતી. જોકે શહેરીજનોએ દિવાળીની રાતે પોતાની કાળજી રાખવા માટે મોઢે રૂમાલ બાંધીને કે પછી માસ્ક પહેરીને ફટાકડા ફોડવાનું પસંદ કર્યું હતું. જેના કારણે ફટાકડા ફોડ્યા બાદ થતા ધુમાડાથી નુકસાન ન થાય. દેશની ન્યાયપાલિકાઓ દ્વારા દિવાળીના તહેવારોમાં દિલ્હી, મુંબઈ સહિત મોટા શહેરોમાં ફટાકડા ફોડવાથી થતું વાયુ પ્રદૂષણ રોકવા માટે ગ્રીન ફટાકડા ફોડવા પરવાનગી અપાઈ છે. જોકે ફટાકડાને કારણે મોટાં શહેરોમાં દર વર્ષે ભારે વાયુ પ્રદૂષણ થતાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યારે વડોદરામાં પણ 20 ઓક્ટોબરે દિવાળીના તહેવારમાં સાંજે 6 વાગ્યાથી મોડી રાતે 2 વાગ્યા સુધી શહેરીજનોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે શહેરમાં વિસ્તારમાં વાયુ પ્રદૂષણનો આંક વધ્યો હતો. જ્યારે વહેલી સવારે પ્રદૂષણનું સ્તર વાતાવરણમાં પણ જોવા મળ્યું હતું. દિવાળીના બીજા દિવસે મંગળવારના રોજ વહેલી સવારે હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ જોવા મળી હતી, જે સૂર્ય પ્રકાશ નીકળ્યા બાદ ધીમે ધીમે ઓછી જોવા મળી રહી હતી. શ્વાસની બીમારી ધરાવતા લોકોએ શું ધ્યાન રાખવું ફટાકડા ફોડવા સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતીરાજ્ય સરકાર દ્વારા ગાઈડ-લાઈન બહાર પાડવામાં આવી હતી કે, રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જોકે શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેને કારણે હવામાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદૂષિત થઈ હતી. નાનાં બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી સ્થિતિથી બચાવવાં જોઈએ. જોકે શહેરમાં ફટાકડાને કારણે ધુમાડાનું પ્રમાણ એટલું વધારે થયું છે કે, હવા ખૂબ પ્રદૂષિત બની ગઈ હતી. એક્યુઆઈથી હવાની શુદ્ધતા મપાય છેએક્યુઆઈ જાણવા પ્રદૂષણનું અવલોકન કરવામાં આવે છે અને તેની માત્રા માપવામાં આવે છે. તેના માટેની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. એક્યુઆઈનું સ્તર સૂચવે છે કે, વાયુ પ્રદૂષણ વધી કે ઘટી રહ્યું છે. એક્યુઆઈની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. એક્યુઆઈ જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ વધે તેમ પ્રદૂષણ વધુ ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં વહેંચાયો છે. દરેક સ્ટેજને ખાસ કલર કોડ અપાયો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:41 am

ભાસ્કર બ્રેકિંગ:ડફનાળાથી એરપોર્ટ સુધી એલિવેટેડ કોરિડોર બનશે, તાજ સર્કલના ટ્રાફિકથી મુક્તિ મળશે

અમદાવાદીઓ માટે આવતા પાંચ વર્ષ શહેરના વિકાસનો નવો અધ્યાય સાબિત થશે, તેવું અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે. આવનારા સમયમાં ડફનાળાથી એરપોર્ટ સુધી એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરાશે આથી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે ભાસ્કર ફર્સ્ટ પર્સન અમદાવાદીઓ માટે આવતા પાંચ વર્ષ શહેરના વિકાસનો નવો અધ્યાય સાબિત થવાનાં છે. નવા વર્ષમાં અમદાવાદને એવા કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ મળવાના છે, જે નાગરિકોના રોજિંદા જીવનમાં ફેરફાર લાવશે. હાલ એરપોર્ટ જતા લોકોને તાજ સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે આ મુશ્કેલી દૂર કરવા ડફનાળા ચાર રસ્તેથી એરપોર્ટ સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનો નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં તેનો ફિઝિબિલિટી ટેસ્ટ થશે અને બાદમાં કામનો શુભારંભ થશે. કોરિડોર તૈયાર થતાં એરપોર્ટ સુધીનો પ્રવાસ સરળ અને સમય બચતભર્યો બનશે. આ સાથે જ શહેરનું હૃદય - ભદ્ર પ્લાઝા, હવે સાંસ્કૃતિક આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવાની યોજના તૈયાર થઈ છે, જેમાં અમદાવાદના ઇતિહાસ અને વિરાસતની ઝાંખી મળશે. ભદ્રના કિલ્લાને આ શો માટે કેન્દ્રબિંદુ તરીકે ઉપયોગમાં લેવાશે. બહારનાં રાજ્યો, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ આ એક નવી આકર્ષણ બનશે. પ્લાઝાના સુઘડ વિકાસ માટે હાલ અહીં વેચાણ કરતા લોકોને અન્યત્ર ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. નવા વર્ષની શરૂઆત સાથે અમદાવાદમાં વિકાસના આ નવા અધ્યાયો શરૂ થશે. જ્યાં ઈતિહાસ, આધુનિકતા અને સુવિધાઓનો સુમેળ એક સાથે જોવા મળશે.> બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ(અનિરુદ્ધસિંહ પરમાર સાથેની વાતચીતના આધારે) રામોલ–હાથીજણમાં શહેરનો સૌથી મોટો બાયોડાઈવર્સિટી પાર્કરામોલ–હાથીજણમાં શહેરનો સૌથી મોટો બાયોડાઈવર્સિટી પાર્ક તૈયાર થશે. અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, ઔષધીય વૃક્ષો અને પક્ષીઓ માટે કુદરતી વસવાટની વ્યવસ્થા રહેશે. પાર્કને એવી રીતે ડિઝાઇન કરાશે કે લોકો અહીં મનોરંજન સાથે પ્રકૃતિ અને વનસ્પતિ અંગે જ્ઞાન મેળવી શકે. એએમટીએસનાં બધાં બસ સ્ટેન્ડ નવાં બનાવાશેશહેરના તમામ એએમટીએસ બસ સ્ટેન્ડને સંપૂર્ણપણે નવું રૂપ આપવામાં આવશે. નવી ડિઝાઇનમાં મુસાફરોને આરામથી બેસવાની, છાયાની અને રાત્રી પ્રકાશની સુવિધા હશે. એક વર્ષમાં હાલના બધા જૂના સ્ટેન્ડ બદલીને નવા સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે. 50 ગાર્ડનને રિડેવલપ કરવામાં આવશે, 25 નવા ગાર્ડન મળશેશહેરના 50 જૂના બગીચાને આધુનિક બનાવવામાં આવશે અને 25 નવા બગીચા તૈયાર કરાશે. ખાસ કરીને નવા ડેવલપ થતાં વિસ્તારોમાં અનામત પ્લોટ પર ગ્રીન ઝોન ઊભો કરવામાં આવશે. દરેક ગાર્ડનમાં વોકિંગ ટ્રેક, ઓપન જિમ અને બાળકો માટેની રમવાની સુવિધાઓ હશે. 1500 નવી સિટી બસો, વધુ રૂટ અને ફ્રિક્વન્સી વધારાશેનવા વર્ષે શહેરમાં 1500 નવી સીટી બસો ઉમેરાશે. હાલના રૂટ પર બસોની ફ્રીક્વન્સી વધારાશે અને નવા ડેવલપ થનારા વિસ્તારોમાં નવા રૂટ શરૂ કરાશે. જ્યાં મુસાફરોની સંખ્યા વધુ છે ત્યાં વધારાની બસો ફાળવાશે, જેથી લોકોને શહેરના જાહેર ટ્રાન્સપોર્ટનો વધુ લાભ મળે. દેશ-વિદેશથી આવતા મહેમાન માટે ટૂરિઝમ સેલ બનાવવામાં આવશેશહેરમાં ફરવા અને ખરીદીની સિઝન દરમિયાન આવતા નેશનલ, ઇન્ટરનેશનલ મુલાકાતીઓ માટે ખાસ “ટૂરિઝમ સેલ” બનાવાશે. આ સેલ દિવાળી પહેલાંના ત્રણ મહિનામાં શહેરને કેવી રીતે પ્રમોટ કરવું, પ્રવાસીઓ માટે ખાસ ઇવેન્ટ્સ કે સ્થળો કેવી રીતે રજૂ કરવા જેવા મુદ્દા પર કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:38 am

અંબાજી તીર્થદર્શન સર્કિટ તૈયાર કરાઈ:હવે અંબાજીના દર્શન સાથે અન્ય 12 તીર્થની યાત્રા પણ કરી શકાશે

અંબાજી આવતા યાત્રિકો મા અંબાનાં દર્શન કર્યા બાદ આ પાવન ધામમાં આવેલા નાના-મોટા તમામ ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની સુવ્યવસ્થિત યાત્રા કરી શકે તે માટે અંબાજી તીર્થદર્શન સર્કિટ તૈયાર કરાઇ છે. આ સર્કિટમાં નાનાં મોટાં 12 સ્થળોને આવરી લેવાયાં છે. યાત્રા અંબાજી મંદિરથી શરૂ થઈ કોટેશ્વર ખાતે પૂર્ણ થશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો ગાંધીનગર દ્વારા ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી અંબાજી તીર્થદર્શન સર્કિટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. યાત્રિકો સરળતાથી આ સર્કિટનો લાભ મેળવી શકે એ માટે અંબાજી શક્તિદ્વાર પાસે પ્રવાસન માહિતી કેન્દ્ર ઊભું કરાયું છે. જ્યાં યાત્રિકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રવાસન કેન્દ્રમાં આવનાર સૌને અંબાજી ધામ વિશે ઓડિયો વિઝ્યુઅલ અને મૌખિક રીતે માહિતી અપાશે. અહીંથી યાત્રિકો ગાઈડ, સાહિત્ય અને માર્ગદર્શન મેળવી શકશે. અહીં ‘અતુલ્ય વારસો’ તરફથી પ્રશિક્ષિત જનસંપર્ક અધિકારી અને ગાઈડ ઉપલબ્ધ રહેશે. જે આવનાર યાત્રિકોને સુવિધા પૂરી પાડશે. શક્તિદ્વાર સામેના પાર્કિગથી ટૂરનો આરંભ થશે. સર્કિટમાં 12 તીર્થસ્થળોને સામેલ કરાયાં તીર્થદર્શન પ્રવાસ દિવસમાં બે વાર યોજાશેઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કાૈશિક મોદીના જણાવ્યા મુજબ, તીર્થદર્શન સર્કિટ શરૂઆતમાં દિવસમાં બે વાર શરૂ કરાઇ છે. જેમાં એક પ્રવાસ સવારે 9 થી 1 અને બીજો પ્રવાસ બપોરે 4 થી 7 સુધી રહેશે. આ પ્રવાસની ફી વ્યક્તિ દીઠ રૂ.100 અને બાળક (6 થી 12 વર્ષ) દીઠ રૂ.35 રાખી છે. પાંચ વર્ષ સુધીના બાળક માટે ફ્રી રહેશે. શાળા-કોલેજના પ્રવાસમાં આવનાર વિદ્યાર્થીઓ માટે આ ફી રૂ.25 રહેશે. યાત્રિકોએ પોતાના વાહનમાં મુસાફરી કરવાની રહેશે. ભવિષ્યમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વાહનની સુવિધા શરૂ કરાશે. આ ફીમાં અંબાજી તીર્થદર્શનને લગતું પ્રેઝન્ટેશન, જરૂરી સાહિત્ય અને ગાઈડની સુવિધા પૂરી પડાશે.​​​​​​​

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:30 am

સિટી એન્કર:નવરાત્રી બાદ વિસર્જિત કરાયેલી ગરબીનો દિવાળીમાં સદુપયોગ, સંસ્થાએ તળાવમાંથી કાઢેલી 150 માટલીને રંગરોગાન-લાઇટિંગ કરી ઘરને સજાવ્યું

આજવા રોડના કમલાનગર તળાવમાં નવરાત્રી બાદ પધરાવેલી 150થી વધુ ગરબીને સાફ કરી તેમાં બલ્બ લગાવી દિવાળીમાં તોરણ તરીકે ઉપયોગ કરાયો છે. આ પહેલ કમલાનગર તળાવ સાફ કરનાર મેરી આસ્થા-મેરા દેશ સંસ્થાના સુનીલ પરમારે કરી છે. નવરાત્રી દરમિયાન ઘેર-ઘેર માતાજીનો ગરબો મૂકાય છે. ઉત્સવની સમાપ્તિ બાદ આ માટીના ગરબાનું નદી અને તળાવોમાં વિસર્જન કરવાની પરંપરા છે. આ સંજોગોમાં સમાજના જાગૃત નાગરિક અને કલાપ્રેમી મેરી આસ્થા-મેરા દેશ સંસ્થાના પ્રમુખ સુનીલ પરમારે પ્રેરણાદાયી પગલું ભરી ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે નવરાત્રી બાદ તળાવમાં વિસર્જન તૈયાર કરાયેલી માટલીઓને એકઠી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કમલાનગર તળાવમાંથી 150 જેટલી માટલીઓને એકઠી કરવા સાથે તેને નવા સ્વરૂપમાં ઢાળી છે. તેમણે આ માટલીઓને સફાઈ કરી રંગો અને કલાત્મક રીતે સજાવી છે. આ રૂપાંતરિત માટલીઓનો ઉપયોગ તેમણે દિવાળી પર્વે પોતાનું ઘર સજાવવા કર્યો છે. આ ઉપરાંત તેમણે આ પ્રયોગ પોતાના પાડોશીના ઘરે પણ કર્યો છે. તેમની આ પહેલ માત્ર તેમના ઘરની સજાવટ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર સમાજ માટે એક સંદેશો આપે છે. સંસ્થા કમલાનગર તળાવને મોડલ તળાવ તરીકે વિકસાવશેમેરી આસ્થા-મેરા દેશ સંસ્થા દ્વારા આજવા રોડ સ્થિત કમલાનગર તળાવની સફાઈ માટે 60 શહેરીજનોએ 25 દિવસ શ્રમદાન કર્યું હતું. દરમિયાન તેમણે 5 ટ્રેક્ટર ભરીને 2 વર્ષ જૂનું પ્લાસ્ટિક ખોદી કાઢી તળાવ સ્વચ્છ કર્યું હતું. સંસ્થા દ્વારા કમલાનગર તળાવને મોડલ તળાવ બનાવાશે. સંસ્થા અન્ય તળાવોને પાલિકા સાથે મળીને સાફ કરશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:27 am

કેળાના વાવેતર:ભરૂચ જિલ્લામાં કેળાના વાવેતરમાં 717 હેક્ટરનો ઘટાડો

ભરૂચ જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂતો બાગાયત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચાલુ વર્ષે 8780 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ બાગાયત પાકોમાં કેળાનો પાક 6 તાલુકામાં કરવામાં આવે છે. આ વર્ષે કેળા નું વાવેતર 7475 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જે ગત વર્ષે 8192 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું આમ ગત વર્ષ કરતાં 717 હેક્ટર કેળની રોપણી માં ઘટાડો થયો છે. ઘટાડા પાછળ નું કારણ જણાવતા ખેડૂતોએ જણાવતા કહ્યું છે. કે કેળના પાકમાં કેટલાક રોગો આવી ગયા છે, સાથે કેળાની માગ સામે ઉત્પાદન વધુ થઈ રહ્યું છે. જેથી બજારમાં કેળાનો ભાવ ઘટી ગયો છે. જેથી કેટલાક ખેડૂતો ડ્રેગન ફ્રૂટ સહિતના અન્ય બાગાયત તરફ વળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:19 am

ઉજવણી:દાહોદમાં મહાવીર સ્વામી મોક્ષ કલ્યાણક દિવસની ઉજવણી

દાહોદ શહેરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના મોક્ષ કલ્યાણક દિવસની ઉજવણી ધર્મમય વાતાવરણમાં કરવામાં આવી હતી. શહેરના વિવિધ જીનાલયોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળી હતી. પ્રભાતે જૈન મંદિરોમાં મહાવીર સ્વામીની પૂજા, અભિષેક પાઠ અને આરાધના વિધિઓ વિધિવત રીતે યોજાઈ હતી. શ્રદ્ધાળુઓએ આરતી બાદ લાડુ ચઢાવી ભગવાનને ભક્તિપૂર્વક વંદન કર્યું હતું. મોક્ષ કલ્યાણક દિવસને પવિત્ર અને પુણ્યપ્રદ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશો દ્વારા અહિંસા, સત્ય અને કરુણાનું આદર્શ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપદેશોને યાદ કરી શ્રદ્ધાળુઓએ સંયમ અને સાધનાનો સંકલ્પ કર્યો હતો. દિવસ દરમિયાન જીનાલયોમાં પ્રવચન, સ્વાધ્યાય અને શાંતિ પાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ભક્તજનોમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો. દાહોદ શહેરમાં આ પ્રસંગે જૈન સમાજના મહંતો, સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોને અનુસરવાની પ્રેરણા મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:17 am

કિશોરીનું મોત:વિજાગઢ ગામમાં રોડ ક્રોસ કરતી કિશોરીનું એમ્બ્યુલન્સની ટક્કરે મોત

દાહોદ તાલુકુના વિજાગઢ ગામના પપ્પુભાઇ મનસુખભાઇ પરમારની 11 વર્ષિય પુત્રી પ્રિયા, 9 વર્ષિય પુત્ર મિનલ, 4 વર્ષિય જયદીપ તેમના માતા નિતેશભાઇ સંગાડિયાના ઘરે મોટી ખરજ ગામે દિવાળીનો તહેવાર મનાવવા માટે ગયા હતા. ત્યારે ગત રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામા મિનલ દુકાને બિસ્કિટ લેવા જવા માટે રોડ ક્રોસ કરતી હતી. તે દરમિયાન દાહોદથી ગરબાડા બાજુ જતી એક ઇક્કો એમ્બ્યુલન્સના ચલાકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મિનલને અડફેટમાં લઇ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી એમ્બ્યુલન્સ ચાલક ગરબાડા બાજુ નાસી ગયો હતો. દુકાનદાર લલીતભાઇ ખબેડે તાત્કાલિક 108ને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત મિનલને દાહોદ ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મિનલના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તહેવારના દિવસોમાં બાળકીના મોતના પગલે બન્ને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. અકસ્માત સંદર્ભે મૃતક બાળકીના કાકા સાલુભાઇ મનસુખભાઇ પરમારે અકસ્માત કરી નાસી ગયેલા એમ્બ્યુલન્સ ચાલક સામે દાહોદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:16 am

આપઘાત:લીમડી મેન્દ્રીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રી ગામના બળવતભાઇ નવલસિંહ ધારવાની 25 વર્ષિય પરિણીત પુત્રી રેખાબેન રવિન્દ્રભાઇ રાઠોડે સોમવારના રોજ વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં લીમડી મેન્દ્રી ગામે અકમ્ય કારણોસર તેમના ઘરની પાછળ આવેલ ઢાળીયામાં લાકડાની સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવનલીલા શંકેલી લીધી હતી. વહેલી સવારે ઝાડ પર રેખાબેનનો મૃતદેહ લટકતી હાલતમાં મળતાં ગામલોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. ગ્રામજનોની મદદથી મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારી લાશ પીએમ અર્થે મોકલી આપી હતી. આ મામલે મૃતકના પિતાએ ધાનપુર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:15 am

મકાનમાં આગ:ગોધરાના પાવર હાઉસ વિસ્તારના ખુલ્લા મકાનમાં આગ

ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલા ગણેશ બેકરી પાછળના એક ખુલ્લા મકાનમાં સોમવારે બપોરના સમયે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ખુલ્લા મકાનમાં પડેલા કચરા અને કાટમાળમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ ગોધરા ફાયર બ્રિગેડને કરાતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ધટનામાં કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થઈ ન હતી. આગ પર કાબુ મેળવાતા સ્થાનિક રહીશો અને દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:14 am

ભાજપનો મનસે પ્રમુખ રાજ ઠાકરે પર આરોપ:96 લાખ બોગસ મતદારોનો રાજનો આંકડો સાવ ખોટો છે

શાસક ભાજપે મનસે પ્રમુખ રાજ ઠાકરે પર મતદાર યાદીમાં ૯૬ લાખ બોગસ મતદારો દાખલ કરવાનો આરોપ લગાવ્યો છે. આગામી ચૂંટણીમાં સંભવિત હારના ડરથી રાજ ઠાકરેએ ૯૬ લાખ નકલી મતદારોનો કાલ્પનિક આંકડો બનાવ્યો. ભાજપે કહ્યું છે કે તેમને ખબર પણ નથી કે આ આંકડો ક્યાંથી આવ્યો.રાજ ઠાકરેએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં ૯૬ લાખ મતદારો બોગસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે પોતાનું ધ્યાન જિલ્લા પરિષદો અને મ્યુનિસિપલ કોર્પોરેશનો પર કેન્દ્રિત કરી દીધું છે. આ ચૂંટણીઓનાં પરિણામો નક્કી થઈ ગયા છે. આ માટે મુંબઈ, થાણે, પુણે જેવા મહાનગરોની મતદાર યાદીઓમાં લગભગ ૯૬ લાખ બોગસ મતદારો દાખલ કરવામાં આવ્યા છે. આથી તેમણે આ સંદર્ભમાં ચેતવણી આપી હતી કે જ્યાં સુધી મતદાર યાદીઓ સ્વચ્છ અને તમામ રાજકીય પક્ષો દ્વારા સ્વીકાર્ય ન થાય ત્યાં સુધી તેઓ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવા દેવાશે નહીં. આ પૃષ્ઠભૂમિ સામે, ભાજપે ઉપરોક્ત આરોપ લગાવ્યો છે.ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદાર યાદી સાથે છેડછાડ કરીને મૂંઝવણ ઊભી કરવાનું એક ગંભીર કાવતરું, જે હજુ સુધી ઉપલબ્ધ નથી, તે હવે ખુલ્લું પડી રહ્યું છે. ઈરાદો સ્પષ્ટ છે! બંધારણીય સંસ્થાઓ વિશે શંકાઓ ઊભી કરવા, લોકોને ગેરમાર્ગે દોરવા અને તોળાઈ રહેલી હાર માટે કારણો શોધવા!!ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, બાળાસાહેબ થોરાત અને રાજ ઠાકરે સહિત વિપક્ષી પાર્ટીના શક્તિશાળી નેતાઓની સેનાએ મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો. મતદાર યાદી સાફ ન થાય ત્યાં સુધી મતદાન ન કરાવવાની જોરદાર માંગ કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ ઉતાવળમાં 96 લાખ બોગસ મતદારોનો કાલ્પનિક આંકડો પણ આપ્યો હતો. તેમને પણ ખબર નથી કે તેમને આ આંકડો ક્યાંથી મળ્યો! લોકશાહી સંસ્થાઓ પર હુમલો કરીને તેમને બદનામ કરવા સિવાય બીજો કોઈ ઈરાદો નથી, અને તેથી જ નકલી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે. કારણ કે મૂળભૂત રીતે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:11 am

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ શહિદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અપાય

ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરની કાળી તલાવડીએ આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. 1959માં ચીની સૈનિકોએ તિબ્બત બોર્ડર પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરનાં દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમ્યાન એસપીએ શહીદ જવાનોના નામો ઉચારીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શહીદોને માન અપાયું હતું.એસપી અક્ષયરાજ મકવાણા સાથે અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:11 am

પ્રયત્નોને મળી સફળતા:ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાને અમલમાં મૂકવાનો માર્ગ ખુલ્યો

આરક્ષિત ભૂખંડ પરના ઝૂંપડાઓનો પુનર્વિકાસ થાય એ માટે થોડા વર્ષથી થતા પ્રયત્નોને હવે સફળતા મળી છે. આ બાબતે રાજ્ય સરકારે તાજેતરમાં પરિપત્ર જારી કર્યો છે. આ બાબતે વિકાસ નિયંત્રણ નિયમાવલીમાં જોગવાઈ હોવા છતાં અમલબજાવણી થતી ન હોવાથી આખરે સરકારે પરિપત્ર જારી કરીને જવાબદારી નિશ્ચિત કરી છે. તેથી હવે આરક્ષિત ભૂખંડ પરના ઝૂંપડા હટાવવાનો માર્ગ ખુલ્યો છે. મુંબઈમાં મુખ્યત્વે આરક્ષિત ભૂખંડ પર ઝૂંપડાઓ મોટા પ્રમાણમાં છે. આ ઝૂંપડાઓનું પુનર્વસન કરતા આરક્ષિત જગ્યા ગાયબ થતી હોવાનું જણાયું છે. 1991ની વિકાસ નિયંત્રણ નિયમાવલીમાં આરક્ષિત ભૂખંડ પર ઝૂંપડાઓના પુનર્વિકાસ બાબતે કોઈ જોગવાઈ નહોતી. તેથી આરક્ષિત ભૂખંડ પરના ઝૂંપડાઓનો પુનર્વિકાસ રખડી પડ્યો હતો. આખરે વિકાસ નિયંત્રણ અને પ્રોત્સાહન નિયમાવલી 2034માં પ્રથમ વખત આરક્ષિત ભૂખંડ પરના ઝૂંપડાઓના પુનર્વિકાસની જોગવાઈ કરવામાં આવી. આ જોગવાઈ અનુસાર આરક્ષિત ભૂખંડમાંથી 65 ટકા ભૂખંડ પર બાંધકામ કરવા અને 35 ટકા ભૂખંડ ખુલ્લો રાખવા પરવાનગી આપવામાં આવી છે. છતાં આ નિર્ણયની અમલબજાવણી થતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:10 am

વિકસિત મહારાષ્ટ્ર 2047 મુસદ્દા સમિતિની બેઠક યોજાઈ:વિકસિત ભારતનું સપનું સાકાર કરશે રાજ્યનું વિઝન ડોક્યુમેન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સ્વાતંત્ર્ય શતાબ્દી વર્ષમાં સંપૂર્ણપણે વિકસિત ભારતનું સપનું જોયું છે. આ સ્વપ્નપૂર્તિ માટે મહારાષ્ટ્ર ક્યાંય પાછળ નહીં રહેશે. મહારાષ્ટ્રનું વિઝન ડોક્યુમેન્ટ તે માટે નિશ્ચિત જ સહાયકારી ઠરશે એવો વિશ્વાસ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે આયોજિત વિકસિત મહારાષ્ટ્ર 2047 સલાહકાર સમિતિની બેઠકમાં વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં વિકસિત મહારાષ્ટ્ર 2047 મુસદ્દાને સલાહકાર સમિતિએ માન્યતા આપી હતી. આ મુસદ્દો મંત્રીમંડળની માન્યતા માટે ટૂંક સમયમાં જ રજૂ કરાશે. આ મુસદ્દામં 2029, 2035 અને 2047 સુધી ત્રણ તબક્કામાં વિકસિત મહારાષ્ટ્રનો ધ્યેય સાકાર કરવાનો રોડમેપ અપાયો છે. બેઠકમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોજકતા અને નાવીન્યતા મંત્રી મંગલપ્રભાત લોઢા, પર્યાવરણ મંત્રી પંકજા મુંડે, મત્સ્યવ્યવસાય મંત્રી નિતેશ રાણે વગેરે હાજર હતા. ફડણવીસે જણાવ્યું કે આ મુસદ્દો ઐતિહાસિક દસ્તાવેજ હોઈ ભવિષ્યમાં કોઈ પણ યોજના, ધોરણો બનાવતી વખતે આ મુસદ્દો ઉપયોગ થવો જોઈએ. આ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રને રાજ્યો સાથે નહીં પણ દુનિયા સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવશે. આ આખા મુસદ્દાનું વિડિયોમાં રૂપાંતર કરવું, જેથી નાગરિકોને સુલભ રીતે તે સમજવા મળશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:08 am

કાર્યવાહી:કોંઢગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા, 2 જણા ફરાર જાહેર

વાલિયા પોલીસે નુતનવર્ષ ને લઈને જુગાર જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે તપાસ હાથ ધરી છે. જે અંતર્ગત બાતમી મળી હતી કે કોંઢગામે નવી વસાહત ફળિયાની પાછળ ખુલ્લા ભાગમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે સ્થળ તપાસ કરતા 6 આરોપી જુગાર રમતા પકડાય ગયા હતા જ્યારે બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમ સ્થળ પરથી રોકડ અને મોબાઈલ મળી કુલ 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:08 am

અનોખી પરંપરા:નર્મદામાં દીવી- મેરમેરિયાની પરંપરા હજી પણ અકબંધ રહી

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં દરેક તહેવાર સાથે અનોખી પરંપરા સંકળાયેલી છે.આજે પણ વર્ષો જૂની 'દીવી અને મેરમેરીયા'ની પરંપરા અકબંધ છે. આ પરંપરા મુજબ ગામડાઓમાં લાકડાની દીવી બનાવવામાં આવે છે. દીવી પર ફૂલહાર ચઢાવી ચાંદલા કરી તેને પ્રગટાવવામાં આવે છે. સંધ્યાકાળે આ પ્રગટેલી દીવીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તેને ગામની ભાગોળે કે ચૌટા પાસે મૂકવામાં આવે છે. આ રીતે પૂર્વજોએ અપનાવેલી ધાર્મિક વિધિ અને પૂજાને અનુસરીને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ભુછાડ ગામના કોંગ્રેસના પીઢ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવાએ આ પરંપરા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને આજની યુવા પેઢી પણ તેનું અનુસરણ કરી રહી છે. દીવીને ઘરમાં ફેરવવાથી ઘરની નકારાત્મક શક્તિ બહાર નીકળી જાય છે. આ પરંપરા પાછળનો મુખ્ય ભાવ એ છે કે સૌને સુખ, સમૃદ્ધિ અને નિરોગી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. ગામથી લઈને રાજ્ય અને દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે આજે પણ ગામડાઓમાં 'દિવાળી માતા'ની પૂજા કરવાની અને દીવીને ભાગોળે મૂકવાની પરંપરા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:06 am

આગ:ભરૂચમાં આવેલી કરિયાણાની દુકાનમાં આગ

ભરૂચ શહેરના ગાંધી બજાર ગોલવાડ વિસ્તારમાં આવેલી અનાજ-કરિયાણાની દુકાનના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે મોટાપાયે માલસામાનનું નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે, જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ કેવી રીતે લાગી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડતા હલચલ મચી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:04 am

મધરાત્રે ભીષણ આગ લાગી:વાશીમાં નિવાસી ઈમારતમાં આગમાં ચાર જણનાં મોત, અન્ય દસ ઘાયલ

નવી મુંબઈના વાશીના સેક્ટર ૧૪, એમ. જી. કોમ્પ્લેક્સમાં રહેજા રેસિડેન્સી સોસાયટીમાં સોમવારે મધરાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને દસ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં છ વર્ષની બાળકી અને ૮૪ વર્ષની દાદીનો સમાવેશ થાય છે.પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે સોમવારે રાત્રે લગભગ 12.40 વાગ્યે ઇમારતના 10મા માળે આગ લાગી હતી. થોડી વારમાં જ આગ 11મા અને 12મા માળે પણ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન, ઇમારતમાં ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું અને નાગરિકો તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આગની માહિતી મળતાં જ વાશી, નેરુલ, ઐરોલી અને કોપરખૈરાણેથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર બ્રિગેડે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેના કારણે રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સિલિન્ડર વિસ્ફોટમાં માતા- પુત્રી ભડથુંદિવાળીના તહેવારમાં સમગ્ર મહારાષ્ટ્ર ઝળહળી ઉઠ્યું હતું, ત્યારે નવી મુંબઈમાં એક દુ:ખદ ઘટના બની છે. રવિવારે રાત્રે કામોઠેના સેક્ટર 36માં આવેલી અંબે શ્રદ્ધા સહકારી સોસાયટીમાં ભીષણ આગ લાગતાં એક માતા અને પુત્રી જીવતા બળી ગયા હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર વિસ્ફોટને કારણે આગ લાગી હતી. રવિવારે રાત્રે કામોઠેના સેક્ટર 36માં આવેલી અંબે શ્રદ્ધા સોસાયટીના રૂમ નંબર 301માં અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં, થોડી વારમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. ધુમાડો અને જ્વાળાઓ જોઈને સ્થાનિકો તાત્કાલિક બહાર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ત્યાં સુધીમાં સોસાયટીના અન્ય નાગરિકોએ બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:03 am

માર્ગદર્શિકા:બહાર ફરવા જાવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી

દિવાળીના વેકેશનમાં લોકો ફરવા માટે જતાં હોય છે ત્યારે બંધ મકાનોમાં ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે. ચોરીના બનાવો રોકવા માટે ભરૂચ પોલીસે માર્ગદર્શિકા બહાર પાડી છે અને પેમ્પલેટનું વિતરણ કરી લોકોને જાગૃત પણ કરવામાં આવી રહયાં છે. દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલા પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના ઘગીના, રોકડ રૂપિયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઈ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત શક્ય હોય તો સી.સી.ટી.વી. કેમેરા અથવાચોકીદાર રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તહેવાર દરમ્યાન ફેક્ટરીની ઓફિસમાં કોઈ રોકડ રકમ રાખવી નહીં.જ્યારે તમે રોડ પરથી પસાર થાવ ત્યારે કોઈ અજાણી વ્યક્તિ તમારું વાહન ઉભું રાખવાનો ઈશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે કે ઓઇલ લીક થાય એવુ કહીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે ત્યારે સાવધાની રાખવી જોઇએ. સોસાયટીના વિસ્તારમાં રાત્રીના કે દિવસના સમયે કોઇ શંકાસ્પદ ઇસમોની પ્રવૃત્તિ ધ્યાને આવે તો પોલીસ કંટ્રોલ રૂમને જ જાણ કરવી.એકલી જતી મહિલાઓને રસ્તો પૂછવા બાબતે રોકી તેના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી નાસી જતા હોય છે જેથી ભીડ ભાડવાળી જગ્યાઓએ જતી વખતે મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:02 am

છેલ્લા પાંચ વર્ષમાં બોનસની રકમમાં 100 ટકાનો વધારો:દિવાળી બોનસના કારણે મુંબઈ પાલિકા પર 285 કરોડ રૂપિયાનો વધારાનો બોજો

મુંબઈ મહાપાલિકાના કામદારોને આ વર્ષે 31 હજાર રૂપિયા દિવાળી બોનસ તરીકે આપવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં મહાપાલિકાના કામદારોના બોનસમાં 100 ટકાનો વધારો થયો છે. ચૂંટણી, રાજકીય હસ્તક્ષેપના લીધે કામદારોને મોટી રકમનું બોનસ આપવાની પ્રથા ચાલુ થઈ છે. આ વર્ષે બોનસના લીધે મુંબઈ મહાપાલિકાની તિજોરી પર 285 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. મુંબઈ મહાપાલિકામાં લગભગ 90 હજાર કરતા વધારે કર્મચારીઓ છે. મુંબઈ મહાપાલિકાને બોનસ કાયદો 1972 લાગુ થતો નથી. તેથી કર્મચારીઓ, કામદારો, અધિકારીઓને સ્વખુશીથી બોનસ આપવામાં આવે છે. 2020માં મુંબઈ મહાપાલિકાના કર્મચારીઓને 15 હજાર 500 રૂપિયા બોનસ આપવામાં આવ્યું હતું. ત્યાં સુધી દર વર્ષે બોનસમાં 500 રૂપિયાનો વધારો થતો હતો. પણ છેલ્લા પાંચ વર્ષમાં આ રકમમાં 100 ટકાનો વધારો થયો છે. આ વર્ષે કર્મચારીઓને 31 હજાર રૂપિયા બોનસ મળ્યું છે. ગયા વર્ષ કરતા 2 હજાર રૂપિયા વધારે બોનસ આપવામાં આવ્યું છે. એમાં મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, અનુદાન પ્રાપ્ત ખાનગી પ્રાથમિક સ્કૂલ શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓ, મહાપાલિકા પ્રાથમિક સ્કૂલ તેમ જ અનુદાનપ્રાપ્ત ખાનગી પ્રાથમિક સ્કૂલના શિક્ષણ સેવક, માધ્યમિક સ્કૂલના શિક્ષક અને શિક્ષકેતર કર્મચારી (અનુદાનિત અને વિનાઅનુદાનિત), અધ્યાપક વિદ્યાલય શિક્ષક સેવક (પૂર્ણ સમય) (અનુદાનિત તથા વિનાઅનુદાનિત) એવા તમામને 31 હજાર રૂપિયા બોનસ આપવામાં આવ્યું છે. મહાપાલિકાની આર્થિક સ્થિતિ નબળીમુંબઈ મહાપાલિકાની આર્થિક સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે એટલે મુંબઈ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કરકસરનું ધોરણ અમલમાં મૂક્યું છે. આગામી બે વર્ષમાં મહેસૂલના નવા વિકલ્પ શોધાશે નહીં તો મહાપાલિકાની જવાબદારી વધશે. જો કે બોનસની બાબતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાધારી પક્ષ હસ્તક્ષેપ કરતો હોવાથી વધુમાં વધુ બોનસની માગણી કરતા કામદાર સંગઠન અને વધુમાં વધુ બોનસ જાહેર કરતા રાજકારણીઓના લીધે મુંબઈ મહાપાલિકા પર બોનસનો બોજો વર્ષાનુવર્ષ વધી રહ્યો છે. એમાં દર વર્ષે વધારો કરવો જ પડે છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીના સમયે 29 હજાર રૂપિયા બોનસ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:02 am

નૂતન વર્ષ:આજથી નૂતન વર્ષનો પ્રારંભ, લોકોમાં ઉત્સાહ

ભરૂચ જિલ્લા સહિત દેશભરમાં હિન્દુ સમાજના નુતન વર્ષનો આજથી રંગેચંગે પ્રારંભ થશે. ચાલુ વર્ષે પણ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે પડતર દિવસ આવ્યો છે. દિવાળીની રાત્રીએ ભરૂચ અને નર્મદા માં આકાશ રંગબેરંગી આતશબાજી થી ઝળહળી ઉઠ્યું હતું. મંગળવારે પડતર દિવસ હોવાથી શહેરીજનોએ છેલ્લી ઘડીની ખરીદી સહિતના અન્ય કામોને પ્રાધાન્ય આપ્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, જંબુસર, આમોદ, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, સેલંબા, સાગબારા, દેડિયાપાડા, તિલકવાડા સહિતના નગરોમાં મંગળવારે પણ બજારોમાં ચહલપહલ જોવા મળી હતી. આજે બુધવારે હિંદુ સમાજના નૂતન વર્ષનો પ્રારંભ થશે. નવા વર્ષના વધામણાં લેવા માટે લોકોએ તેમના મકાનોના આંગણાને રંગબેરંગી રંગોળીથી દિપાવ્યાં છે અને મકાનો તથા દુકાનો પર કરેલી રોશની દિપાવલીના પર્વના ઠાઠનો ચિતાર આપી રહી છે. સાથે પડતર દિવશે લોકોએ ફૂલોની ખરીદી સહિત પોતાના વાહનોને સાફ કરવા માટે કાર વોશની દુકાને કારની કતાર જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 5:01 am

કામગીરી:ઉદલપુરથી સાવલી 38 કિ.મી.ના માર્ગની કામગીરીના શ્રીગણેશ થયા

ઉદલપુરથી સાવલી 38 કિમીના માર્ગ ઉપર આવેલા નાળા બંને બાજુએ ખોદકામ કરીને બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. છેલ્લા ઘણા સમયથી ખખડધજ માર્ગના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી. પરંતુ વિજયા દશમીના પાવન પર્વથી માર્ગની કામગીરી પ્રગતિ ઉપર હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદારની સરકારમાં વારંવાર રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સાવલી ડેસર વચ્ચે ડબલ માર્ગ મંજૂર કરીને માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા ઇજારો આપીને માર્ગની કામગીરી શરૂ કરાઇ છે. 38 કિલોમીટરનો માર્ગ હોવાથી આ કામગીરી એક વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું હતું. સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે વારંવાર માર્ગ બનતો નથી માટે માર્ગ અને મકાન વિભાગ આ માર્ગ ઉપર સતત મોનિટરિંગ રાખીને વ્યવસ્થિત રીતે સારી ગુણવત્તાનો બનાવે તો વધુ સમય માટે માર્ગ ટકી રહે. જ્યારે ‌હાલ માર્ગ ઉપર સતત વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. 15 -20 દિવસે માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરાવાય તો નાના વાહનચાલકોને અવરજવર કરવા માટે સુગમતા રહે. ધૂળના કારણે મોટરસાયકલ ચાલકો ખૂબ જ પરેશાન થાય છે પરંતુ માર્ગની કામગીરી શરૂ કરાઇ છે તેનાથી સાવલી ડેસર ઉદલપુર સહિત વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:56 am

બોગસ વિજ્ઞાનીના ઘર ઉપર દરોડો:બોગસ વિજ્ઞાનીના ઘર પર પાડેલા દરોડામાં 14 અતી સંવેદનશીલ નકશા મળી આવ્યા

ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી)નો વિજ્ઞાની હોવાનું કહીને ભારત વિશેની ગોપનીય માહિતી શત્રુ દેશોને પહોંચાડવાની શંકા છે એવા અખ્તર હુસૈન કુતુબુદ્દીન અહમદની શનિવારે ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ), ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આના જ ભાગરૂપે અખ્તરના વર્સોવા યારી રોડના નિવાસસ્થાને દરોડા પાડતાં અણુબોમ્બ સંબંધી દસ્તાવેજો અને 14 સંવેદનશીલ નકશાઓ પણ મળી આવ્યા છે. આ ફ્લેટમાં આરોપી તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો, જેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજોને સમજવા માટે તપાસ સંસ્થાઓ ટેક્નિકલ નિષ્ણાતો, ફોરેન્સિક નિષ્ણાતો અને બીએઆરસીના વિજ્ઞાનીઓની પણ મદદ લઈ રહી છે. આરોપીએ ઘણા બધા દસ્તાવેજો અંધેરીની એક દુકાનમાંથી બનાવડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. તેના બોગસ બીએઆરસી ઓળખપત્રમાં અલી રઝા હોસૈની નામ છે, જ્યારે તેની પર ફોટો પોતાનો છે. તેણે અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત ક્ષેત્ર અણુ એકમમાં પહોંચ મેળવવા માટે આ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું જણાયું છે. તે બીએઆરસીના કેમ્પસમાં કેટલી વાર ગયો અને અંદર જઈને ફોટોગ્રાફ્સ લીધા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે દસ્તાવેજો એટલા ચાલાકીપૂર્વક તૈયાર કરાયા છે કે અસલી અને નકલી વચ્ચે ફરક દેખાતો નથી.60 વર્ષીય આરોપી વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મીરુત સ્થિત કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં સરકાર વિરુદ્ધ જંગ, ધિક્કાર પેદ કરવો, વિધિસર ગોપનીયતા ધારાનો ભંગ સહિતના ગંભીર આરોપ હેઠળ કેસ દાખલ છે, જેમાં તે જામીન પર બહાર આવ્યો હતો. છેલ્લાં 20 વર્ષમાં ઓળખ બદલી2004માં આરોપીને દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય અણુ ગોપનીયતા આરબ રાજદૂતને વેચવાના પ્રયાસમાં તેની ધરપકડ કરાઈ હતી, જે પછી ભારતમાં તેની વિરુદ્ધ કેસમાં કાર્યવાહીઓ થઈ પરંતુ જામીન મળ્યા હતા, જે પછી આઈબી દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આઈબીને મજબૂત પુરાવા મળ્યા પછી તેની શનિવારે ધરપકડ કરાઈ હતી. જોકે છેલ્લાં 20 વર્ષમાં તેણે પો છેલ્લાં 20 વર્ષમાં ઓળખ બદલી2004માં આરોપીને દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારતીય અણુ ગોપનીયતા આરબ રાજદૂતને વેચવાના પ્રયાસમાં તેની ધરપકડ કરાઈ હતી, જે પછી ભારતમાં તેની વિરુદ્ધ કેસમાં કાર્યવાહીઓ થઈ પરંતુ જામીન મળ્યા હતા, જે પછી આઈબી દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આઈબીને મજબૂત પુરાવા મળ્યા પછી તેની શનિવારે ધરપકડ કરાઈ હતી. જોકે છેલ્લાં 20 વર્ષમાં તેણે પોતાની ઓળખ સંપૂર્ણ બદલી નાખી હતી. તેના સર્વ દસ્તાવેજો એલેક્ઝેન્ડર પાલ્મરને નામે બનાવડાવ્યા હતા, જેમાં સરનામું સરનામું જમશેદપુરનું આપ્યું હતું. તેના પિતાનું નામ જોન અને માતાનું મારિયા હોવાનું બતાવ્યું હતું. નવી ઓળખ માટે 1990માં તેણે બિહારથી 10 અને 12 ધોરણ પાસ કર્યું હોવાના, રાંચી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્સ પૂરું કર્યાના, ઓરિસાની બિજુ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી બેન્ચલર ઓફ એન્જિનિયરિંગ પૂરું કર્યાના અને આ રીતે ઘણા બધા બોગસ દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. તાની ઓળખ સંપૂર્ણ બદલી નાખી હતી. તેના સર્વ દસ્તાવેજો એલેક્ઝેન્ડર પાલ્મરને નામે બનાવડાવ્યા હતા, જેમાં સરનામું સરનામું જમશેદપુરનું આપ્યું હતું. તેના પિતાનું નામ જોન અને માતાનું મારિયા હોવાનું બતાવ્યું હતું. નવી ઓળખ માટે 1990માં તેણે બિહારથી 10 અને 12 ધોરણ પાસ કર્યું હોવાના, રાંચી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્સ પૂરું કર્યાના, ઓરિસાની બિજુ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી બેન્ચલર ઓફ એન્જિનિયરિંગ પૂરું કર્યાના અને આ રીતે ઘણા બધા બોગસ દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. એક જ નામના ત્રણ પાસપોર્ટતપાસ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આરોપીએ એલેક્ઝેન્ડર પાલ્મર નામે ત્રણ પાસપોર્ટ કઈ રીતે તૈયાર કર્યા હતા. આ પાસપોર્ટ પર તેણે અનેક ફોરેન ટ્રિપ કરી છે. ઉપરાંત તેનો આધાર, પેન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ પર પણ પાલ્મરનું જ નામ છે. તેની પાસેથી મોબાઈલ ફોન, 2 પેન ડ્રાઈવ મળી છે, જેમાં પણ અનેક દસ્તાવેજો હોવાનું જણાયું છે, જે સર્વ કાઢીને તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ફોરેન્સિક નિષ્ણાતો અને બીએઆરસીના વિજ્ઞાનીઓની મદદ લેવામાં આવી રહી છે, એમ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:50 am

દિવાળીની ઉજવણી:જિલ્લામાં પ્રકાશના પર્વ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

બોડેલી સહિત જિલ્લાભરમાં દિવાળી પર્વની અનેરા ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે માડી રાત સુધી ફટાકડાની ગુંજ અને આતશબાજીના રંગો જોવા મળ્યા હતા. આસો વદ અમાસ સવંત 2081ના છેલ્લો દિવસ એટલે દિવાળીનું મહાપર્વ. ત્યારે આ વર્ષને વિદાય આપવા સાથે નવા વર્ષને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ દેખાતો હતો. પ્રકાશ પર્વ દિવાળીની દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દીપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દીવડા અને રંગોળીના સુશોભન જોવા મળ્યા હતા. દિવાળીના પર્વમાં ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું અનેરું મહત્વ છે. ત્યારે અનેક દુકાન- ઓફિસમાં પરિવારજનોએ ચોપડા પૂજન કર્યું હતું. બોડેલી સહિત જિલ્લાભરમાં અનેક વિસ્તારમાં દિવાળી પર્વને લઈને મકાનો તમેજ સરકારી ઓફિસ પર રંગબેરંગી લાઇટોથી ડેકોરેશન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:48 am

સિટી એેન્કર:બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 6500 કરતાં વધુ ચોપડાઓનું પૂજન

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) — માનવજાતના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે, જે ભારતમાં તથા વિશ્વભરના અનેક દેશોમાં ૧૬૨થી વધુ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. દિવાળીના પાવન તહેવારના ઉપક્રમે “ચોપડા પૂજન” — નવા વર્ષ (વિક્રમ સંવત ૨૦૮૨)ના ચોપડાઓનું પૂજન — ભક્તિભાવપૂર્વક બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, દાદર (પૂર્વ), મુંબઈ ખાતે સોમવારે યોજાયું હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તથા પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તથા પૂજ્ય અભયસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં હજારો ભક્તોએ પૂજનમાં ભાગ લીધો હતો. સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન યોજાયેલ પૂજન પ્રસંગે ૬,૫૦૦ થી વધુ ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, દાદર ખાતે ભક્તિભાવપૂર્વક 6500+ ચોપડા પૂજન યોજાયું.હજારો ભક્તોએ નવા વર્ષના ચોપડાઓ પૂજાવી સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા. ચોપડા પૂજનનું આધ્યાત્મિક મહત્ત્વદિવાળીનો તહેવાર માત્ર આનંદ અને ઉજવણીનો નથી, પરંતુ નવા આરંભનો સંદેશ આપે છે. વેપારીઓ માટે આ દિવસ વર્ષના અંતનો નહિ પરંતુ નવા વર્ષના ચોપડા ખોલવાનો પવિત્ર પ્રસંગ છે. કાર્તિક સુદ એકમના દિવસે ભગવાનને સાક્ષી રાખી ચોપડા પૂજન કરવામાં આવે છે — જે જીવનમાં ધાર્મિકતા, સચ્ચાઈ અને શ્રદ્ધાનું પુનઃસ્થાપન કરે છે. ચોપડા પૂજનનો સાચો અર્થ માત્ર લેજર બુકમાં ગણતરી લખવાનો નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સત્ય અને ન્યાયના સિદ્ધાંતો અપનાવવાનો સંકલ્પ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શીખવ્યું છે કે “ધન ધર્મના માર્ગે કમાવવું અને ભગવાનની કૃપાથી વાપરવું એ જ સાચો સમૃદ્ધિનો માર્ગ છે.” નવા ચોપડામાં લખાતા પ્રથમ શબ્દો “શ્રી ગણેશાય નમઃ” અને “અક્ષરપુરુષોત્તમ જય” ભગવાન પ્રત્યેની સમર્પણભાવના અને શરૂઆતમાં આશીર્વાદ મેળવવાનો સંકેત આપે છે. સંતોએ સમજાવ્યું છે — “ચોપડા માત્ર કાગળના નથી, જીવનના પણ છે.” વિચારો, શબ્દો અને કર્મ આપણા આંતરિક ચોપડા છે; તે શુદ્ધ રહેશે તો જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પ્રસરે છે. આ રીતે ચોપડા પૂજન ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંતુલિત માર્ગ બતાવે છે — જ્યાં લાભ કરતાં પહેલું ધર્મ અને સફળતા કરતાં પહેલું સત્ય આવે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:48 am

ફરિયાદ:સુરેન્દ્રનગરમાં જૂના મનદુ:ખે : 2 મહિલા સહિત 4 સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ખાટકીવાડમાં રહેતા ઇસ્માઇલભાઈ બાદલાણીએ બીડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, આજથી છ માસ પહેલા એજાજ દાઉદભાઇ કટીયાએ ઇસ્માઇલભાઇના નાના ભાઈ હુસેનભાઇ મુસાભાઇ બાદલાણીની દિકરી સાનીયા સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. જે વખતે ઇસ્માઇલભાઇના ઘરના લેડીજ સાથે બોલાચાલી ઝગડો થયેલો હતો. જેનું મનદુ:ખ રાખી સુરેન્દ્રનગર રહેતા દિલાવર કટીયા તથા એજાજ કટીયા, જરીનાબેન કટીયા, સહેનાજ કટીયા ઇસ્માઇલભાઇને ગાળો આપી મારી નાંખવાની ધમકી તેમજ ઇસ્માઇલભાઇના ઘરે દિલાવર, એજાજે ધોકા વડે ઘરમા નુકશાન કર્યું હતું. આ તમામ શખસોએ ઇસ્માઇલભાઈના બહેન ફરીદાબેન સુલેમાનભાઇ સોલંકી તથા ભાભી જમીલાબેન હુસેનભાઇ બાદલાણીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે દિલાવર કટીયા, એજાજ કટીયા, જરીનાબેન કટીયા અને સહેનાજ કટીયા સામે ગુનો નોંધ્યોછે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:42 am

GSTની અસર:રૂ.20.25 કરોડની 450 કાર, 5.75 કરોડના 600 સ્કૂટરનું વેચાણ થયું

દિવાળી પર્વ નિમિતે નવા વાહન ખરીદવાનું મુહૂર્ત હોવાથી દર વર્ષે વાહનોની ખરીદી કરાતી હોય છે.જેના અગાઉથી બુકીંગ કરાવ્યા બાદ શુભ દિવસોમાં લોકો કાર અને બાઈક શોરૂમથી ઘેર લઇ જતા હોય છે. ત્યારે આ વર્ષ જિલ્લામાં 20.25 કરોડની કાર 450થી વધુ કારો અને 5.75 કરોડના 600 વધુ સ્કૂટરની ડિલિવરી અપાઈ હતી. 2 મહિના પહેલા કાર ઉપર લાગતો જી.એસ.ટી. 10 ટકા ઘટાડી દેવામાં આવ્યો હતો જેનાથી તમામ કારની કિંમત ઘટતા આ વર્ષે ગ્રાહકોએ મોટી સંખ્યામાં કાર ખરીદી છે. ગત વર્ષ જિલ્લામાં એક જ દિવસમાં જિલ્લામાં 200 થી 250 કાર વેચાઈ હતી જેની સંખ્યામાં આ વર્ષે વધારો થઈને 400 થી વધુ કાર વેચવાથી રેકોર્ડ બ્રેક થાય તેવી શક્યતા છે. જ્યારે ગત દિવાળીએ રૂ.3 કરોડની કિંમતના 350 થી 400 જેટલા ઇવાહન અને દ્વિચક્રિવાહનોની સામે આ વર્ષે રૂ.5.75 કરોડના 600 વધુ સ્કૂટરની ડિલિવરી અપાઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:38 am

એર શો:એરોડ્રામમાં 24મીઅે વાયુસેનાનો આકાશમાં સ્ટંટ્સ અને દિલધડક એર શો

મહેસાણાના એરોડ્રામ ખાતે 24 ઑક્ટોબરને શુક્રવારના રોજ સવારે 9 વાગે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં શાનદાર સ્ટંટ્સ અને દિલધડક એર શો કરશે. શહેરમાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાઇ રહ્યો છે. આકાશમાં વિમાનોના અદભૂત કરતબો નિહાળવા સામાન્ય પ્રજા માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. એર-શોમાં 9 હોક MK 132 વિમાનોને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડશે. એર-શોમાં વિમાન સીધી દિશામાં આગળ વધતાં 360 ડિગ્રી ફરી સીધું થાય, બે વિમાનો એક બીજાને સામ સામેથી ખૂબ નજીકથી પસાર થાય છે. તેમજ દર્શકોની નજીકની ઊંચાઇ પર વિમાન ઝડપથી પસાર કરાશે

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:32 am

આંશીક વાદળછાયું વાતાવરણ:વાદળછાયા માહોલથી રાતે ઠંડીમાં ઘટાડો, બપોરે ગરમી

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મંગળવાર સવારથી પલટો આવ્યો હતો. વાદળોના કારણે રાત્રીના તાપમાનમાં અડધા ડિગ્રીનો વધારો થયો હતો. મુખ્ય 5 શહેરોમાં રાત્રીનું તપામાન 22 થી 23.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેને લઈ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. બપોરના સમયે ઉકળાટ સાથે ગરમી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ઉત્તર ગુજરાતનું વાતાવરણ આંશીક વાદળછાયું રહી શકે છે. જેને લઈ દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:25 am

ફરિયાદ:પ્રેમલગ્નના વિવાદમાં યુવતીનું અપહરણ, યુવતીના પરિવારજનો સામે ફરિયાદ

માલણમાં પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારના લોકો ત્રણ ગાડી ભરાઈને આવીને યુવતીને લાફો મારી ખેંચીને ગાડીમાં ભરીને લઈ ગયા હતા. જેથી તેના પતિએ અપહરણની ફરિયાદ પરિવારજનો સામે નોંધાવી હતી. પાલનપુર તાલુકાના માલણ ગામના વિપુલકુમાર નાનજીભાઈએ ગામની જ મિત્તલ હરીભાઈ પટેલ સાથે 15 ઓક્ટોબરે દરીયાપુર, અમદાવાદમાં કોર્ટ મેરેજ કરેલ હતા. 20 ઓક્ટોબરે યુવતીના પરિવારે પેપોળ ગામમાં વિપુલના મામાના ઘરમાં ઘૂસી મિત્તલબેનને લાફો મારી પકડી બહાર કાઢી કારમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. વિપુલકુમાર અને તેમના મામાના દીકરા ભરતભાઈ, અને તેમના પરિવારના અન્ય સભ્યોએ યુવતીને બચાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન વિનોદભાઈ અને કમુબેનને યુવતીના પરિવારે ઈજા પહોંચાડી હતી.જે બાદ વિપુલકુમારે 112 હેલ્પલાઇનને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિપુલકુમારે સોમવારે વડગામ પોલીસ મથકે 12 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારામારી અને ધમકીના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી. આમની સામે ફરિયાદપ્રવિણભાઈ નાગરભાઇ પટેલ, વિજયભાઈ નાગરભાઇ પટેલ, ભુપેન્દ્રભાઈ રામાભાઈ પટેલ, ભાનુભાઈ નાનજીભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ (તમામ રહે. માલણ, તા.પાલનપુર) તથા જગદિશભાઈ બેચરભાઈ પટેલ અને મનુભાઈ હાજીપરા(બંને રહે.રામપુરા, તા.પાલનપુર), રોહીતભાઈ પટેલ, જયંતીભાઈ હીરાભાઈ સબાસણા અને અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ(ત્રણે રહે.પાલનપુર), નિલેષભાઇ રમેશભાઇ બ્રાહ્મણ(રહે.અંગોલા, તા.પાલનપુર), મહેશભાઇ પટેલ (રહે.ભાવીસણા, તા.પાલનપુર)

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:16 am

મંદિરોમાં ભક્તો ઊમટશે:આજથી વિક્રમ સંવત 2082નો પ્રારંભ

બનાસકાંઠા અને વાવ - થરાદ જીલ્લામાં આજે બેસતા વર્ષની ધામધુમથી ઉજવણી કરાશે. લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. યાત્રાધામ અંબાજી સહિત જીલ્લાના ધાર્મિક સ્થળો શ્રધ્ધાળુઓથી ઉભરાઇ જશે. દરમિયાન મંગળવારે પડતર દિવસે પણ લોકોએ દિપાવલીની ઉજવણી કરી હતી. રાત્રે ફટાકડાઓથી રોશનીનો ઝગમગાટ પ્રસરી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આજે વિક્રમ સંવત 2082નો પ્રારંભ થશે. વહેલી સવારે લોકો દેવદર્શને જશે. જ્યાં યાત્રાધામ અંબાજી, બાલારામ, બાજોઠીયા, હાથીદ્રા, ઢીમા ધરણીધર ભગવાન સહિતના મંદિરોએ શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવશે. લોકો એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચાલી આવતી પરંપરા મુજબ સાંજે મયણું કરશે. લોકો એકબીજા ઘરે રૂબરૂ જઇ વડીલોને પગે લાગશે. અને એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. નવા વર્ષે પાલનપુર રામજી મંદિરમાં ભગવાન શ્રીરામજીને અન્નકુટ ધરાવાશે. દરમિયાન મંગળવારે પડતર દિવસે પણ લોકોએ દિપાવલીની ઉવજણી કરી હતી. રાત્રે ફટાકડા ફોડી આનંદ વ્યકત કર્યો હતો. રોશનીનો ઝગમગાટ ઝળહળી ઉઠ્યો હતો. નવા વર્ષનું મૂહુર્ત પાલનપુરના શાસ્ત્રી હિરેનકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, નવા વર્ષના દિવસે કારતક સુદ- 1 બુધવારના સવારે.6:30થી 9:15 અને 11થી 12:15 સુધી શુભ મૂહુર્ત છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:13 am

સરકારનું રાહત પેકેજ જાહેર:વાવ-થરાદમાં પાણીના કાયમી ઉકેલ માટે પૂર નિયંત્રણ વિશેષ પ્રોજેક્ટ માટે 2500 કરોડની જોગવાઈ કરાશે

બનાસકાંઠામાંથી અલગ થયેલા વાવ થરાદ જિલ્લાને પૂરની આફતનો સામનો કરવો પડ્યો જેમાંથી ઉગારવા માટે વહીવટી તંત્ર દ્વારા 320 કરોડની દરખાસ્ત સરકારમાં કરી હતી. પરંતુ સરકારે રાહત પેકેજ 320 કરોડ કરતાં વિશેષ આપતા તંત્રે સંતોષ વ્યક્ત કર્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન થયેલા ભારે વરસાદ અને પૂરના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. રાજ્યના જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લાના 18 તાલુકાના 800થી વધુ ગામોમાં પાકો નાશ પામ્યા હતા. જેથી રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે કુલ રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં SDRF હેઠળ રૂ.563 કરોડ અને રાજ્ય બજેટમાંથી વધારાના રૂ.384 કરોડનો સમાવેશ થાય છે. વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોવાથી રાજ્ય સરકારે પૂર નિયંત્રણ સ્પેશિયલ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ માટે અલગથી રૂ.2500 કરોડની જોગવાઈ કરાશે, જેથી આગામી સમયમાં ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યા પરથી કાયમી રાહત મળી શકે. રાજ્ય સરકારે પાક નુકસાન સહાય માટે સ્પષ્ટ ધોરણો જાહેર કર્યા છે. બિનપિયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે રૂ.12 હજાર પ્રતિ હેક્ટર, વર્ષાયુ અથવા પિયત પાકોમાં રૂ.22 હજાર પ્રતિ હેક્ટર અને બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં રૂ.27,500 પ્રતિ હેક્ટર સહાય મળશે. દરેક ખાતાને મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના પાણી ભરાયેલા વિસ્તારોના ખેડૂતોને જમીન સુધારણાં માટે વધારાના રૂ.20 હજાર પ્રતિ હેક્ટર સહાય પણ અપાશે. આ પગલાંથી ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે અને ખેતી ફરી શરૂ કરવા માટે જરૂરી નાણાકીય ટેકો ઉપલબ્ધ થશે. સિંચાઈ માટેની જુદી જુદી નહેરો બનાવાશે વાવ થરાદ કલેકટર એસ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે 2500 કરોડની વધારાના જે પેકેજની જાહેરાત થઈ છે તે વાવ થરાદ જિલ્લા માટે ખૂબ જ આશીર્વાદરૂપ નીવડશે. સરકારનું જે આયોજન છે તે મુજબ સિંચાઈ માટે જુદી જુદી નહેરો બનાવાશે. જોકે વિસ્તૃત વિગતનો આગામી દિવસોમાં વધુ ખ્યાલ આવશે. પાક નુકસાનનો રિપોર્ટ સરકારમાં મોકલાવ્યો પૂરગ્રસ્ત વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં 42 ટીમો દ્વારા કુલ 1.34 લાખ ખેડૂત ખાતેદારોની 2.25 લાખ હેક્ટર જમીનમાં સર્વે કરાયો હતો. જેમાંથી 1.88 લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકનું ભારે નુકસાન નોંધાયું હતું. જેનો પાક નુકસાનનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલાવ્યો હતો. સહાય માટે ખેડૂતોએ ફોર્મ મેળવી પડશે ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ વિસ્તરણ અધિકારીની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જેમનું નુકસાન થયું હતું તેવા ખેડૂતો ના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે સહાય મેળવવા માટે સરકારી વિભાગની જાહેરાત આવ્યા બાદ અધિકૃત કરાયેલા અધિકારી પાસેથી ફોર્મ મેળવી જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવા પડશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:12 am

શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ:દીપાવલીના પર્વોમાં ઘરનું આંગણું સ્વચ્છ રાખવા 1500 સફાઇ કર્મી ફરજ બજાવશે

દિપાવલી પર્વોમાં ફટાકડા ફોડીને તહેવારની ઉજવણીનો આનંદ નગરવાસીઓ કરી રહ્યા છે. જ્યારે તેની સામે દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં પણ નગરવાસીઓના ઘરનું આંગણ ચોખ્ખુ રાખવા માટે મનપાના અંદાજે 1500 જેટલા સફાઇ કર્મચારીઓ ઘરના આંગણું, કોમન પ્લોટથી લઇને મુખ્યમાર્ગોની સફાઇની કામગીરી કરીને પોતાના ફરજ બજાવીને તહેવારોની ઉજવણી કરશે. હાલમાં ચાલી રહેલા તહેવારોમાં નગરવાસીઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કરીને આનંદ અને ઉલ્લાસના પર્વની મજા માણી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા માટે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ડોર ટુ ડોરથી લઇને નગરવાસીઓના ઘરના આંગણાની, સોસાયટીના કોમનચોક, સેક્ટરોના આંતરિક તેમજ નગરના મુખ્યમાર્ગોની બન્ને સાઇડ તેમજ નગરની ખુલ્લી પડેલી જગ્યાઓની સફાઇ કરીને સ્વચ્છ રાખવા માટે સફાઇ વિભાગ કામગીરી કરી રહ્યું છે. ત્યારે નગરના સ્વચ્છ અને ચોખ્ખુ ચણાક રાખવા માટે મનપા દ્વારા સફાઇની કામગીરી માટે અંદાજે 1500 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા તહેવારોમાં ફટાકડા ફોડવાથી કે ઘરની સફાઇ કરવાથી થયેલા કચરાની સફાઇ કરવાની કામગીરી કર્મચારીઓ કરી રહ્યા છે. નગરને સ્વચ્છ અને ચોખ્ખુ રાખવાની આપણી ફરજ હોવાથી હાલમાં ચાલતા તહેવારોમાં પરિવારની સાથે પર્વની ઉજવણી કરવાને બદલે પોતાના સોંપેલા વિસ્તારની સફાઇ કરી રહ્યા છે. સફાઇ કર્મચારીઓની આવી કામગીરીના ભાગરૂપે નગરવાસીઓએ પણ તેમને સહયોગ આપીને પોતાના ઘરની આસપાસ કચરો થાય નહી તેની તકેદારી રાખવાની સાથે સાથે કચરાને પોતાના ઘરે આપેલી ડસ્ટબીનમાં એકત્રીત કરીને ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીમાં નાંખવામાં આવે તો મનપાની સફાઇ અભિયાનની કામગીરીને નગરવાસીઓના સહયોગથી સમગ્ર દેશમાં ગાંધીનગરને સ્વચ્છ શહેર બનાવતા કોઇ જ રોકી શકશે નહી. તેવી અપીલ પણ નગરવાસીઓને કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:08 am

આકાશમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું:પડતર દિવસે નગરના વાતાવરણમાં પલટો, સવારે હળવા છાંંટા પડ્યા

હવામાન નિષ્ણાંતો દ્વારા નવરાત્રીની જેમ દિપાવલીના પર્વોમાં વરસાદની કરેલી આગાહી સાચી પડી હોય તેમ પડતર દિવસે વહેલી સવારથી ન નગરના આકાશમાં કાળાડિબાંગ વાદળોની હાજરી ઉપરથી લાગી રહ્યું હતું. વધુમાં સવારે નગરના અમુક વિસ્તારોમાં અમી છાંટણાં પણ પડતા નવા વર્ષની વધામણી વરસાદથી થાય તેવી શક્યતા રહેલી હોવાની ચર્ચા નગરવાસીઓમાં જોવા મળી રહી છે. ચાલુ વર્ષે મેઘરાજાની વહેલા આગમન બાદ પણ વિદાય લેવાનું નામ લેતા નથી. વિક્રમ સંવંતનું વરસાદથી સ્વાગત કરીને વિદાય લે તેમ પડતર દિવસે નગરના વાતાવરણમાં આવેલા બદલાવ ઉપરથી લાગી રહ્યું છે. જોકે નવરાત્રીમાં પડેલા વરસાદ પછી મેઘરાજા ચાલુ વર્ષે વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેની વચ્ચે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષના આગમની વચ્ચેના પડતર દિવસે મેઘરાજા જાણે છડી પુકારીને નવા વર્ષમાં વરસવાની તૈયારીમાં હોય તેમ વહેલી સવારથી નગરના આકાશમાં જમા થયેલા કાળાડિબાંગ વાદળો ઉપરથી લાગી રહ્યું છે. જોકે પડતર દિવસે વરસાદના માત્ર અમી છાંટણા થઇને વરસાદે વિરામ લીધો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોન હાજરી વચ્ચે નગરના વાતાવરણ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસથી ભરચક બની જતા વિઝીબિલીટી ઘટી જવાથી વાહન ચાલકોને હેલલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તેની વચ્ચે વાતાવરણમાં ધુમ્મસની અસર બપોરે 12 કલાક સુધી જોવા મળી હતી. ત્યારે નવા વર્ષના આગામનની સાથે વરસાદની હાજરી રહેવાની શક્યતા પણ નગરવાસીઓ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ મંગળવારે નગરનું મહત્તમ તાપમાન 35.8 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 21.2 ડીગ્રી હવામાન વિભાગની વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે મંગળવારે નગરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડીગ્રી વધારે અને લઘુત્તમ તાપમાન બરાબર જ હતું. જ્યારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે અને સાંજે ઉંચું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:07 am

દિવાળીના દિવસે આવ્યા માત્ર 112 કેસ:દીપાવલી પર્વમાં ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 4.55 ટકાનો ઘટાડો નોંધાયો

છેલ્લા ઘણાં સમયથી દિપાવલીના દિવસે ઇમરજન્સી સેવાની જરૂરીયાત લોકોને ઓછી પડી રહી છે. તેનો સિલસિલો ચાલુ વર્ષે રહેતા સામાન્ય દિવસોમાં 117 કોલ ઇમરજન્સી સેવાને આવતા હોય છે. તેની સામે દિવાળીના દિવસે 112 કોલ આવતા સામાન્ય દિવસોની સરખામણીએ કામગીરીમાં 4.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે ઇમરજન્સી સેવા 108 દ્વારા પણ દિપાવલી પર્વના દિવસે ઇમરજન્સી સેવાની ડિમાન્ડ ઓછી રહેતી હોવાનો અંદાજો વ્યક્ત કર્યો હતો. દિપાવલી પર્વો આનંદ અને ઉલ્લાસનો સંદેશો આપતા હોય છે. પરંતું દિપાવલી પર્વની ઉજવણી ફટાકડા ફોડીને, નવા વસ્ત્રો સહિતની વસ્તુઓની ખરીદી કરીને, ઘરની સાફસફાઇ કરીને ચોખ્ખુંચણાક ઘરને કરી તેને સુશોભિત કરીને દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેના માટે વસ્તુઓ લાવવા માટે ખરીદીની દોડધામ સતત કરતા હોય છે. તેની સાથે સાથે ફટાકડા ફોડવાથી વાતાવરણમાં ફેલાતા ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ, ધુમાડાથી આંખોમાં બળતરા, ધુમાડો શ્વાસમાં જવાથી ગળામાં દુ:ખાવો, શરદી અને ખાંસી સહિતની બિમારીઓ થતી હોય છે. તેમાંય શ્વાસની બિમાર વ્યક્તિઓ માટે કપરૂ બની રહેતું હોય છે. ઉપરાંત હાર્ટની બિમાર વ્યક્તિઓ માટે આનંદનો પર્વ બિમારીની તકલીફમાં પસાર થતો હોય છે. ત્યારે આવી બિમારીઓની તાત્કાલિક સારવાર અને નિદાન મળી રહે તે માટે ઇમરજન્સી સેવા 108ના કર્મચારીઓ દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં ફરજ સમજીને કામગીરી કરીને પર્વોની ઉજવણી કરતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિપાવલી પર્વના દિવસે ઇમરજન્સી સેવાની ડિમાન્ડ ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ શક્યતા સાચી પડી હોય તેમ ચાલુ વર્ષે દિપાવલી પર્વમાં ઇમરજન્સી સેવાની ડિમાન્ડ ઓછી રહેવા પામી છે. સામાન્ય દિવસોમાં ઇમરજન્સી સેવા 108ને 117 કોલ આવતા હોય છે. જ્યારે તેની સામે દિપાવલી પર્વના દિવસે 112 કોલ આવતા સામાન્ય દિવસ કરતા કામગીરીમાં 4.55 ટકાનો ઘટાડો 108ના કર્મચારીઓને રહ્યો હતો. જોકે તેની સામે દિપાવલી પર્વના દિવસે રોડ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસો રોડ અકસ્માતના 20ની સામે દિપાવલી દિવસે 14 કોલ આવતા કામગીરીમાં 30.69 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે પડી જવાથી કે વાહન સ્લિપ થવાથી ઇજાના કોલ દિપાવલી દિવસે 11 આવ્યા હતા. જે સામાન્ય દિવસ કરતા 217.31 ટકા વધારે રહ્યા હતા. કેમ કે સામાન્ય દિવસોમાં ઇજાના માત્ર 3 કોલ આવતા હોય છે. જ્યારે સામાન્ય દિવસો કરતા દિપાવલી પર્વના દિવસે ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના કોલ વધારે રહેવાની સામે ચાલુ વર્ષે દિપાવલી પર્વના દિવસે દાઝી જવાના માત્રને માત્ર 1 જ કોલ આવ્યો હોવાનું ઇમરજન્સી સેવા 108ના માહિતગારસૂત્રોએ જણાવ્યું છે. નવા વર્ષ અને ભાઇબીજે કેસ વધવાની શક્યતાઇમરજન્સી સેવા 108 દ્વારા દિપાવલી દિવસે કામગીરી ઓછીની સામે બેસતાવર્ષ અને ભાઇબીજના દિવસે કામગીરી વધારે રહેવાની આગાહી કરવામાં આવી હતી. તેમાંય પડી જવાના તેમજ વાહનથી ઇજાના કેસ વધારે નોંધાતા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત હાર્ટ, શરીરમાં દુ:ખાવો, તાવ સહિતના કેસ વધારે રહેવાની પણ શક્યતા રહેલી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:05 am

ST વિભાગનું આયોજન:50થી વધુ મુસાફરો થશે તો બસની સુવિધા અપાશે

તહેવારોમાં મુસાફરો માટે એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે લોકોને બસની સુવિધા સરળતાથી મળી રહે તે માટે ખાસ આયોજન એસ ટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં જો હાલમાં ચાલી રહેલા તહેવારોમાં કોઇપણ ધાર્મિક કે પ્રવાસન સ્થળે જવા માટેનું આયોજન લોકો કરતા હોય છે. ત્યારે જો એક જ જગ્યાએ જવા માટે 50થી વધારે મુસાફરો મળી રહેશે તો નગરના ડેપોમાંથી બસની સુવિધા પૂરી પાડવામાં આવશે. જોકે તેના માટે નગરના ડેપોમાં જઇને હાજર કંટ્રોલને જાણ કરવાથી બસ મુકાશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:02 am

CMએ આપ્યું ‘’વોકલ ફોર લોકલ’’ને પ્રોત્સાહન:સીએમ ભૂપેન્દ્ર પટેલે બજારમાં ફેરિયાઓ પાસેથી વસ્તુ ખરીદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા, રંગોળીના રંગ સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ‘’વોકલ ફોર લોકલ’’ નો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે ફેરિયાઓ સાથે વાતચીત કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ સમયે બજારમાં ખરીદી કરવા આવેલા લોકો પણ મુખ્યમંત્રીની સાદગીથી પ્રભાવિત થયા હતા. સીએમએ તેમની સાથે પણ સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ અવાર નવાર વિવિધ તહેવારોના સમયે સ્થાનિક બજારોમાં ખરીદી કરતા જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:01 am

મુલાકાત:રાજ્ય કક્ષાના મંત્રીની વ્યારા BAPS મંદિરમાં મુલાકાત

રાજ્ય કક્ષાના નવનિયુક્ત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત વ્યારા પાસે આવેલ વિસ્તારમાં આવેલ નવનિર્મિતાધિન BAPS સ્વામિનારાયણ મંદિર, વ્યારા ખાતે દર્શન માટે પધાર્યા હતા. તેમણે મંદિરની સુવ્યવસ્થિત રચના અને સેવા કાર્યની પ્રસંસા કરી હતી. મુલાકાત દરમિયાન પૂ. આદર્શસેવા સ્વામી તથા પૂ. યોગીતીર્થ સ્વામીએ માનનીય મંત્રીનું તિલક કરીને, પ્રસાદીની નાડાછડી બાંધી તથા હાર પહેરાવી શુભ સ્વાગત કર્યું હતું. મંદિરના સંતોએ મંત્રીને માહિતી આપી હતી કે પ્રમુખસ્વામી મહારાજે વ્યારામાં કુલ 18 વખત પધારીને આદિવાસી વિસ્તારમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક કાર્યો કર્યાં હતાં. આ સાંભળીને ડૉ. જયરામભાઈ ગામીત ખુશ થયા અને જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી સમાજના વિકાસ માટે અદભુત યોગદાન આપ્યું છે.આ પ્રસંગે સંતોએ ભાવિક ભક્તો ને જણાવ્યું કે અક્ષરવાડી વ્યારામાં દિવાળી અને નવા વર્ષની ભવ્ય અન્નકૂટ મહોત્સવની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. 700થી વધુ વાનગીઓ ભગવાન આગળ ધરાવવા આવશે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:રોઘડા ગામના પાટીયા પાસેથી 14,544 બોટલ દારૂ ઝડપાયો

રોઘડા ગામના પાટીયા પાસેથી ભીમા નાથાભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરા નામનો શખ્સ ટ્રકમા વિલાયતી દારૂની 14,544 બોટલો પશુઆહારની આડમાં સંતાડીને લઇ જતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ બોટલો રાજુ અમરાભાઇ કોડીયાતરે દારૂ મંગાવવા માટે અન્ય એક શખ્સ પાસે મોકલ્યો હતો જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે કે બગવદર ગામના 4 રસ્તા પાસેથી જયમલ ઉર્ફે જયલો મસરીભાઇ ખરા નામનો શખ્સ વિલાયતી દારૂની 2 બોટલો સાથે ઝડપાઇ ગયો હતો. દારૂની પ્રવૃતિઓ પર પોલીસે લાલઆંખ કરી દિવાળી દરમિયાન કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

108ની ટીમની સરાહનીય કામગીરી:બરડાના કાટવાણા ગામે સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા,બાળકનો જીવ બચાવ્યો

બરડા પંથકના કાટવાણા ગામની સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડતા 108ને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સ સગર્ભાને લઈને લેડી હોસ્પિટલ ખાતે રીફર કરતા હતા તે દરમ્યાન સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પોરબંદર નજીક કાટવાણા ગામના વાડી વિસ્તારમાં મજૂર વર્ગના પરિવારની સગર્ભા મહિલાને પ્રસુતિની ની પીડા થતા 108 ને કોલ કર્યો હતો જેથી પોરબંદર સીટી 1 લોકેશન મારફત કાટવાણા થી લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે લ‌ઈ જતાં હતા. તે દરમ્યાન રસ્તામા મહિલા ને પ્રસુતિની પીડા ઉપડતાં 108ના ઇ.એમ.ટી. દેવાભાઈ કડછા અને પાઇલોટ દીપક વાજા દ્વારા એમ્બ્યુલન્સ સાઇડમા રોકી હેડ ઓફીસ પર રહેલા ફીજીશયન ડો. ટી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને તાલીમની મદદ થી સમય સુચકતા ધ્યાનમાં રાખી સગર્ભાને વધુ પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરાવી હતી અને દીકરી નો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

ખાદી અને ગ્રામોદ્યોગનું થયું રેકોર્ડબ્રેક વેચાણ:દિવાળી દરમ્યાન ખાદીભવનમાં 18 દિવસમાં રૂ. 70 લાખનું ખાદી અને ગ્રામોદ્યોગનું વેચાણ થયું

2જી ઓક્ટોબરથી સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આવેલ ખાદી ભવનમાં મહાત્મા ગાંધીની પ્રિય ખાદીની ખરીદી પર ખાદી ભવનમાં 25 ટકાનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું. ખાદીની ખરીદી પર વળતર જાહેર થતા જ પોરબંદરના ખાદી ભવન ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો દિવાળીના તહેવારને લઈને ગ્રામોદ્યોગની ખરીદીમાં ભીડ જામીહતી.પોરબંદરના ખાદી ભવનમાં 18 દિવસમાં રૂ.70 લાખનું ખાદી અને ગ્રામોદ્યોગનું વેચાણ થયું હતું તો વળતરની જાહેરાતના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક રૂ.10 લાખનું ખાદી અને ગ્રામોદ્યોગનું વેચાણ થયું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પ્રિય એવા ખાદીના ઉદ્યોગ અને આ ઉદ્યોગથી ગુજરાન ચલાવતા પરિવારોને પણને પણ આર્થિક લાભ મળે તેવા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના તમામ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી ઉપર 25 ટકાનું વળતર આપવામાં આવે છે. ખાદીના કપડાં સહિતની બનાવટોનું વધુમાં વધુ વેચાણ થાય તેમજ લોકો વધુમાં વધુ ખાદીમાંથી બનાવેલ કપડાંનો ઉપયોગ કરે તેવા હેતુથી આ વળતર જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ પોરબંદરના ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતેથી પણ ગાંધી જયંતિ એટલે કે 2 જી ઓક્ટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી ઉપર 25 ટકા વળતર જાહેર કરવામાં આવ્યું હતું.જેને લઈને પોરબંદરના ખાદી ભવન ખાતે ખાદીના કપડાંની ખરીદીમાં ભારે ભીડ જામી હતી. પ્રથમ દિવસે જ ખાદી ભવન ખાતે ખાદીના કાપડમાંથી બનાવેલ ડ્રેસ,કુર્તા, વનપીસ સહિતના કપડાં લેવા લોકોની ભીડ જામી હતી અને પ્રથમ દિવસે જ 10 લાખ રૂપિયાનું ખાદી અને ગ્રામોદ્યોગનું વેચાણ થયું હતું તો દિવાળીના તહેવારને લઈને હાલ ગ્રામોદ્યોગનું વેચાણ વધુ જોવા મળી રહ્યું હતું. ખાદી ભવન ખાતે 18 દિવસમાં રેકોર્ડબ્રેક રૂપિયા 70 લાખનું ખાદી અને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓનું વેચાણ થયું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

માછીમાર પરિવારોની દિવાળી ફિક્કી બની ગઈ‎:પોરબંદરના 3 સહિત 193 માછીમારોનો નૂતન- વર્ષનો પ્રથમ દિવસ પાકિસ્તાનની જેલમાં જ વીતશે

તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વણસ્યા છે ત્યારે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જેલમાં રહેલ માછીમારોની મુક્ત થવાની આશા પણ નિરાશાના ફેરવાઈ ગઈ છે. પાકિસ્તાન જેલમાં છેલ્લા 3 થી 4 વર્ષથી કેદ પોરબંદરના 3 સહિત રાજ્યના 193 માછીમારોની આ દિવાળી પણ પાકિસ્તાનની જેલમાં વિતાવી પડી હતી. પાકિસ્તાન કેદ માછીમારોના ઘરના મોભી જેલમાં કેદ હોવાથી માછીમાર પરિવારનું પેટીયું પણ મજૂરી કરી માંડ માંડ ભરપાઈ થતી હોવાથી નુતનવર્ષ કેમ ઉજવી શકશે જેને લઈને હાલ આ પરિવારમાં દિવાળીનો ઉજાસ અંધકારમય બની ગયો હતો.તો નવા વર્ષની ખુશી પણ ફિક્કી બની ગઇ છે. ઓપરેશન સિંદૂર પૂર્વે અમારા સ્વજનોની મુક્તિ માટે ખૂબ આશા હતી પરંતુ ઓપરેશન સિંદૂર દરમ્યાન અમારા શ્વાસ રૂંધાઇ રહ્યા હતા.આ શબ્દો છે પોરબંદરના સુભાસનગર વિસ્તારમાં રહેતા મહેશ ચુનીલાલ ચાવડા નામના માછીમારની માતાના કે જેનો દીકરો છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ છે. તેમના માતા લક્ષ્મીબેને આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે દીકરો ન હોવાથી હાલ ખુદ કામ કરી ઘરનું ગુજરાન ચલાવું છું,યુદ્ધ દરમ્યાન અમને એમ થતું કે દીકરો હવે પાછો આવશે કે કેમ,બસ અમારી એક જ માંગણી છે કે પાકિસ્તાન કેદ માછીમારોને મુક્ત કરો તો સુભાસનગર વિસ્તારમાં રહેતા અને જેનો દીકરો પણ 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે, તે જમનાબેનના તેમણે જણાવ્યું હતું કે દીકરો ઘરે ન હોવાથી મુશ્કેલી પડે છે,ના દીકરાનો ફોન આવે કે ના તેના કોઈ સમાચાર આવે અમારે તો બસ ઊડતી વાતો જ માન્ય રાખવી પડી રહી છે . હાલ અમારા ઘરમાં દિવાળીના તહેવારનો ઉજાસ અંધકારમય જેવા માહોલમાં વિતાવવો પડ્યો હતો. ત્યારે સરકાર બસ પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને મુક્ત કરાવે એજ છે. ભારતની 1208 બોટો પણ પાકિસ્તાનના કબ્જામાં‎પોરબંદરના 3 સહિત રાજ્યના 193 માછીમારો છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ છે ત્યારે આ માછીમારોની દિવાળી બગડી હતી તો નવા વર્ષની ખુશી પણ ફિક્કી બની ગઇ છે. પાકિસ્તાન દ્વારા અવાર નવાર જળસીમા નજીકથી ભારતીય માછીમારો અને બોટાનું અપહરણ કરવામાં આવે છે.હાલ પાકિસ્તાન 1208 ભારતીય બોટ પણ પોતાના કબ્જામાં રાખી છે. અગાઉ માત્ર 53 બોટ 2013માં મુક્ત કરવામાં આવી હતી. પાક.ઇન્ડિયા પીસ ફોરમ સભ્યોની વીડિયો કોન્ફરન્સ યોજાઈતાજેતરમાં પાક,ઇન્ડિયા પીસ ફોરમ સભ્યોની વીડિયો કૉંફરન્સ હતી જેમાંપોરબંદર,કોડીનાર ,ઉના સહિતના વિસ્તારોના કેદ માછીમારોના પરિવારજનો જોડાયા હતા.જેમાં એવું નક્કી થયું કે પાકિસ્તાનના આ કમીટીના સભ્યો ત્યાં વડાપ્રધાન રજુઆત કરે અને ભારતમાં ભારતના વડાપ્રધાન રજુઆત કરી માછીમારોને મુક્ત કરે તેમજ જ્યૂડીસી કમીટી ફરી ચાલુ કરવા પણ માંગ કરે. > જીવનભાઈ જુગી,પાક,ઇન્ડિયા પીસ ફોરમ રાષ્ટ્રીય સભ્ય

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

દરિયા મહેલમાં દીપ‎મહોત્સવ ઉજવાયો‎:1000 દીવડા પ્રગટાવી 50x50 રંગોળી બનાવી મહેલમાં‎ રાજાશાહી કળા અને વારસાનું અનોખું દ્રશ્ય સર્જાયું‎

પોરબંદર કંઝર્વેટરી સંસ્થા દ્વારા પોરબંદરના ઐતિહાસિક અને રાજાશાહી વારસાનું પ્રતિક ગણાતા ભવ્ય દરિયા મહેલ, જે આજીટી કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં દિવાળીના અવસરે અવિસ્મરણીય અને કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીવિષ્ણુના ચાર પવિત્ર આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મને આધારે અંદાજે 50x50 ફૂટની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી. અંદાજે 500 કિલો કલરનો ઉપયોગ કર્યો હતો. દરિયા મહેલના ઝરૂખા, બારમદાં અને આંગણાંમાં આશરે 1000 દીવડા પ્રગટાવતા દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં રાજમહેલ જાણે જીવંત થઈ ગયો હોય તેવી દૃશ્યાવલિ સર્જાઈ હતી. આ આયોજનનું સંકલન પોરબંદર કંઝર્વેટરી સંસ્થાના ડેપ્યુટી ચેરમેન ડો. સુરેશ ગાંધી, ડાયરેક્ટર સુમનસિંહજી ગોહેલ, ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ લાખાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું. ખાસ કરીને સંસ્થાના સેક્રેટરી પૂજન કવા, જલ્પાબેન, ડૉ. બંસી મદલાણી, ભાવનાબેન છેલાવડા, કમલ સોનરાજ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરના પ્રિન્સિપાલ અલ્તાફખાન રાઠોડનો સહયોગ સાંપડ્યો હતો તેવું નિશાંત બઢે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

શહેરને રોશનીથી શણગાર કરાયો‎:પોરબંદર જિલ્લાવાસીઓમાં નૂતન વર્ષ ઉજવવા અનેરો ઉત્સાહ

આજે બુધવારે નૂતન વર્ષ નિમિતે લોકો એકબીજાના ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈ એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવશે. નૂતનવર્ષ ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, તહેવાર દરમ્યાન શહેરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. નૂતનવર્ષના પર્વ નિમિત્તે પોરબંદર જિલ્લાવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આ વખતે દિવાળીનો તહેવાર લોકોએ ઉત્સાહ પૂર્વક ઉજવ્યો છે. બજારોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. લોકોએ દિવાળીની રાત્રે મનભરીને ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો. મોડી રાત સુધી લોકોએ ઉમંગભેર વિવિધ પ્રકારના ફટાકડા ફોડ્યા હતા. આજે તા.22ને બુધવારે નૂતનવર્ષના દિવસે લોકો બમણા ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરશે. ઇષ્ટદેવની પૂજા કરી મંદિરે દર્શન કરી લોકો પોતાના સબંધીઓના, મિત્ર વર્તુળના ઘરે જઈ વડીલોના આશીર્વાદ મેળવશે અને નવાવર્ષની શુભકામનાઓ પાઠવશે. સબંધીઓના ઘરે જઈને વડીલોના આશીર્વાદ મેળવવા એ પરંપરા આજે પણ ચાલી આવે છે. તહેવાર પર રોશનીનો શણગાર કરાતા શહેર ઝગમગી ઉઠ્યું છે. પોરબંદર શહેરના રાજમાર્ગો પર રંગબેરંગી લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે, અને શહેરના રાજમાર્ગો પર અનેક સ્થળોએ તથા ઘટાદાર વૃક્ષોમાં લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. પોરબંદર પાલિકા કચેરી, ફુવારા, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવામાં આવી છે. જયારે શહેરમાં ખાનગી ઇમારતોમાં રંગબેરંગી લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આજે શુકન ખરીદવાનું મહત્વનવા વર્ષે વહેલી સવારે શહેરના વિસ્તારોમાં શકન એટલેકે નમક વેચવા નીકળે છે. મહિલાઓ શકન વેચવા નીકળે છે અને શકન લો તેવું કહે છે ત્યારે મોટાભાગના શહેરીજનો નમક રૂપી શકનની ખરીદી કરે છે. શકનની પરંપરા આજે પણ જળવાઈ છે. શકન ખરીદવાનું પણ નવાવર્ષે ખાસ્સું મહત્વ રહેલું છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

ઘંટાકર્ણ મહાવીરનું વિશેષ પૂજન કરાયું:ઘંટાકર્ણ મહાવીર પર કેસરનો ચડાવો, મુગટ-આભૂષણનું પૂજન કરાયું

માણસા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડીમાં કાળીચૌદશના રોજ હવન અને ઘંટાકર્ણવીરનું વિશેષ પૂજન કરવામાં આવે છે તે મુજબ સોમવારે ભગવાન ઘંટાકર્ણવીર ઉપર કેસરનો ચડાવો ચડાવવા ઉપરાંત ધૂપ ફૂલ મુગટ અને આભૂષણ પૂજન કરી ભગવાનની દિવ્ય મૂર્તિ પર સોનાનો વરખ ચડાવવામાં આવ્યો હતો. તેમજ ચમત્કારિક મહામંત્રના ૧૦૮ જાપ સાથે નાડાછડીમાં શ્રદ્ધાની અતૂટ ગાંઠ બાંધવાની પરંપરામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહુડી ખાતે દિવ્ય ઘંટાકર્ણવીર દેવની સ્થાપના શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમ સંવત 1975 ના માગશર સુદ છઠના રોજ કરી હતી. જે વખતે કેટલાક નિયમો બનાવ્યા હતા તે મુજબ શ્રી ઘંટાકર્ણ મહાવીરની રોજે રોજ પૂજા કરવાના બદલે ૧૨ મહિનામાં ફક્ત એકવાર કાળી ચૌદસના દિવસે કેસર ની પૂજા કરવા ની પરંપરા ચાલી આવે છે ત્યારે આજે કાળી ચૌદશ નિમિત્તે મહુડી તીર્થ ધામમાં ભગવાન ઘંટાકર્ણવીર નું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું . આજના વિશેષ હવનમાં તેમજ ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેવ ના દર્શન માટે જૈન જૈનેતર ભક્તો જોડાયા હતા કાળી ચૌદસ નિમિત્તે મહાવીર ભગવાનનું ધૂપપૂજન,આભૂષણ પૂજન,મુગટ પૂજન, કેસર પૂજન તેમજ ફુલ પૂજન કરવામાં આવ્યું હતું . વર્ષમાં ફક્ત એક જ વખત થતા આ પૂજનમાં સૌપ્રથમ સવારે પાંચ વાગ્યે પદ્મપ્રભુ પ્રક્ષાલન પૂજન કર્યા બાદ છ વાગ્યાથી. શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રક્ષાલન વિધિ શરૂ થઈ જાય છે તો મહુડી તીર્થ ધામ માં મહાવીર સ્વામીના હવનનું ખૂબ જ મહત્વ હોવાના કારણે ૧૨.૩૯ શરૂ થયેલા આ હવન માં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ઓમ શ્રી ઘંટાકર્ણ ના ચમત્કારિક મહામંત્રના ૧૦૮ જાપ સાથે નાડાછડી માં શ્રદ્ધા ની ગાંઠ મારવાની પરંપરામાં પણ જોડાયા હતા . જેમાં દેશ વિદેશ થીઆવેલા હજારો ભાવિક ભક્તો હવનમાં પ્રક્ષાલન વિધિ અને આહુતી સમયે થતા ઘંટનાદ વખતે શ્રદ્ધાળુ અને પોતાના હાથમાં રાખેલી લાલ નળાસળીને શ્રદ્ધાપૂર્વક ગાંઠ મારવામાં આવે છે. આ પ્રમાણે ૧૦૮ ગાંઠો મારનાર શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતી હોવાનું માનવામાં આવે છે અને આ સમયે મંદિર પરિસરમાં એકદમ શાંત વાતાવરણ જોવા મળતું હોય છે. વર્ષમાં ફક્ત એક જ આ કાળી ચૌદસના દિવસે યોજાતા હવનમાં બેસવા માટે અને દર્શનનો લાભ લેવા માટે સ્થાનિક તેમજ દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે તો આજના આ પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ દાતાઓ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તો માણસા મામલતદાર,પી. આઈ સહિત જિલ્લા વહીવટી તંત્ર એ પણ મોટી સંખ્યા માં આવેલાં શ્રદ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે નું સુંદર આયોજન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

વિતરણ:આત્મન ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિસ્તારના બાળકો, વડીલોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ કરાયું

ગાંધીનગરની સેવાભાવી સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ૩૦ વર્ષની પરંપરા મુજબ દિવાળી, નવા વર્ષના તહેવારો નિમિત્તે મીઠાઈ , ફરસાણના ૨૫૦ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તકવંચિત બાળકોને આનંદ વહેંચવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આત્મન સંસ્થાના પ્રિય એવા સેકટર - ૧૩ ના શ્રમજીવી વસાહતના બાળકોને મીઠાઈ , ફરસાણ પેકેટ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે દિવાળી તહેવારોના મહિમા અંગે સંસ્થાના પ્રમુખ સી.એલ. મહેતાએ પ્રશ્નોત્તરી કરી હતી. બાળકોએ પ્રાર્થના, ગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત નિર્માણ પામી રહેલા રેવા ગ્રામ સેવા સંકુલમાં પ્રતાપનગરના બાળકોને પણ મીઠાઈ, ફરસાણ, ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે વિવિધ વિષયે પ્રજ્ઞાબેન પટેલ દ્વારા સંવાદ પણ કરવામાં આવ્યો હતો. કેટલાક વાલીઓ પણ હાજર રહ્યા હતા. દિવાળીના દિવસે ગાંધીનગરની વિશિષ્ટ બાળકોની સંસ્થાઓના બાળકોને મીઠાઈ, ફરસાણ, ફટાકડા ભેટ આપવામાં આવ્યા હતા. સે. ૧૭ ના વૃદ્ધાશ્રમના વડીલ બા - દાદાઓને શુભેચ્છા પાઠવી મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી. આમ ૨૫૦ વ્યક્તિઓ સુધી આત્મનનો પ્રેમ પ્રસાદ પહોંચ્યો હતો. મીઠાઈ - ફરસાણ દિવ્યાબેન વરિયા તરફથી, ફટાકડા સુધાબેન શુક્લ દ્વારા, અશોકભાઈ ત્રિવેદી, સી.એલ. મહેતા, જીતેન્દ્રભાઈ પટેલ અને હિતેશભાઈ પરમાર તરફથી બાળકોને કાજુ કતરી , ચોકલેટથી મોં મીઠું કરાયું હતું. આ પ્રસંગે સી.એલ. મહેતા, પ્રજ્ઞા પટેલ , હિતેષભાઇ પરમાર, જીતેન્દ્રભાઈ પટેલ, સંજય થોરાત, સવિતાબેન - કપિલાબેન માછી, અજય રાવલ વગેરે બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

CM કરશે પંચદેવ મંદિરે દર્શન:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના પ્રારંભે પંચદેવ મંદિરે દર્શન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર, બુધવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ 7.30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. ત્યારબાદ મુખ્યમંત્રી નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8થી 8.45 વાગ્યા સુધી નાગરિકો- પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. આ સમયે શહેરના નાગરિકો, આગેવાનો મુખ્યમંત્રીનેમળીને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી શકશે. સવારે 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે. ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30થી 11.30 વાગ્યા સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. ભૂપેન્દ્ર પટેલ આ પહેલાં સવારે 10 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. જ્યારે નૂતન વર્ષના દિવસે બપોરે 11.45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

અંધશ્રદ્ધાને માત અપાઈ:ચાર રસ્તે કાઢેલા કકળાટ રૂપી વડા એકત્ર કરી સ્મશાન ભૂમિ ખાતે આરોગી ખોટી માન્યતાનું ખંડન કર્યું

દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશની રાત્રીએ સોબર ગ્રુપ દ્વારા જન જાગૃતિ અર્થે સ્મશાન ભૂમિ ખાતે વડા આરોગવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 વર્ષના બાળકથી લઈને સિનિયર સિટીઝન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા ગઈકાલે રવિવારના રોજ કાળી ચૌદશને રાત્રે 12 વાગ્યે વડા એટલે કે કકળાટ આરોગવાના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળી ચૌદશના દિવસે લોકો સ્મશાન ભૂમિ ખાતે જતા ડરે છે અને સ્મશાન ભૂમિમાં કાળી ચૌદશની રાત્રે ભૂત પ્રેત અને મેલીવિદ્યા થતી હોય તેવી માન્યતા વ્યાપી છે અને લોકો ઘર માંથી વડા એટલે કે કકળાટ કાઢી ચાર રસ્તે મૂકે છે અને પાણીથી કૂંડાળું કરે છે અને કુંડાળામાં પગ મૂકવાથી અહિત થાય છે તેવી માન્યતા પણ રહેલી છે. ત્યારે આવી ખોટી માન્યતાનું ખંડન કરવા અને લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ લોક જાગૃતિ ફેલાવવા સોબર ગ્રુપના સભ્યો ચૌદશ રાત્રે ગોળ કુંડાળામાંથી વડા કાઢી વડા ને એકત્ર કરી ગ્રુપના સભ્યો દ્વારા સ્મશાન ભૂમિમાં રાત્રે આ વડાને આરોગી ખોટી માન્યતાનું ખંડન કર્યું હતું. સોબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ વીનેશભાઈ ચોલેરા, ઉપ પ્રમુખ ભીખુભાઈ મહેતા તથા ગ્રુપના સભ્યો ઉપરાંત 3 વર્ષની બાળકીથી લઈને સિનિયર સિટીઝન સહિતના નાગરિકોએ સ્મશાનભૂમિ ખાતે રાત્રિએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

દિવાળી વેકેશન‎:બરડા જંગલ સફારીમાં 26 ઓક્ટોબર સુધી એડવાન્સ બુકિંગ‎

હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બરડા જંગલ સફારી માટે પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હાલ તો. 26/10 સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. પોરબંદર જિલ્લાના બરડા જંગલમાં જીવ સૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યો જાણવા અને માણવા બરડા જંગલ સફારી તા. 7/10ના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. કપૂરડી ચેકપોસ્ટ ખાતેથી જંગલ સફારી માટે સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. બરડા જંગલ સફારી કપૂરડી ચેક પોસ્ટ ખાતેથી સવારે અને બપોરે ટ્રીપ ચાલી રહી છે. બરડા જંગલ સફારીમાં હાલ ઓફલાઈન બુકિંગ છે. તંત્ર દ્વારા સ્કેનર જાહેર કરવામાં આવ્યું છે, સ્કેનર સ્કેન કરી લોકો રૂપિયા ભરી શકશે અને ત્યારબાદ ફોન નંબર જાહેર કર્યા છે જે ફોન નંબર પર ફોન અથવા મેસેજ કરી કન્ફર્મેશન જાણી શકાશે અથવા 02896 232840 પર સંપર્ક કરી શકાશે અથવા રૂબરૂ આવી બુકિંગ કરી શકાશે. ઉલ્લેખનીય છેકે, બરડા સફારી ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે ભાણવડના આરએફઓ દિનેશકુમાર સોલંકીએ જણાવ્યું હતુકે, હાલ દિવાળી વેકેશનને લઈને પ્રવાસીઓ સફારી કરવા ઉમટી પડ્યા છે. તા. 26/10 સુધી 26 પ્રવાસીએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. મોટાભાગના પ્રવાસીઓ અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય માંથી સફારીની મજા માણવા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, બરડા જંગલમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ, તળાવ, ઝરણાં, મગર, કિંમતી વનસ્પતિઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, હરિયાળી, ડુંગર સહિતનું કુદરતી સ્ત્રોતના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે. ગત વખતે એટલેકે તા. 29 ઓક્ટોબર 2024 થી તા.15 જૂન 2025 સુધીમાં 2748 પ્રવાસીએ બરડા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો, જેમાં વિદેશી પ્રવાસીનો પણ સમાવેશ થયો હતો. આ વખતે 101 પ્રવાસીએ સફારીનો આનંદ માણ્યો છે અને હાલ પણ પ્રવાસીઓ સફારીનો આનંદ માણી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

રૂ. 575 કરોડનો ખર્ચ કરીને પૂરા કરાશે‎ જનહિતના કામો:વિક્રમ સંવત 2082માં પોરબંદરને મેડિકલ કોલેજ, અદ્યતન હોસ્પિટલ, આઇકોનિક રોડ, 2 લાયબ્રેરીનું નવું નજરાણું મળશે

પોરબંદરમાં નવા વર્ષે પોરબંદરને રૂ.575 કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કાર્યો કરવામાં આવશે જેમાં પોરબંદરને મેડિકલ કોલેજ, અધતન હોસ્પિટલ, છાંયા મુખ્ય માર્ગ પર આઇકોનિક રોડ, 2 આધુનિક લાયબ્રેરી મળશે જેનાથી પોરબંદરના વિકાસમાં ચાર ચાંદ લાગી જશે. પોરબંદરના ધરમપુર નજીક જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ,હોસ્પિટલ અને ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ,પી.જી હોસ્ટેલ, કવાટર્સ સહિતના બિલ્ડીંગનું નિર્માણ કાર્ય 545 કરોડના ખર્ચે ચાલુ છે, જેમાં મેડિકલ કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલનું બિલ્ડીંગ તૈયાર થઈ જતા કાર્યરત કરી દેવાયું છે ત્યારે હોસ્પિટલનું બિલ્ડીંગનું કામ 60 ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ જગ્યામાં બાંધકામ માટે એરપોર્ટની એન.ઓ.સી.અને બિલ્ડીંગ સ્ટ્રક્ચર સહિતના ફેરફારની કામગીરીમાં ઢીલી નિતિને લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ભવનનું કામ ત્રીજી વખત ઠેલાયું છે અને વધુ 6 માસની મુદત વધારવામાં આવી છે. અગાઉ આ ભવન સપ્ટેમ્બર 2024માં તૈયાર થવાનું હતું પછી જુલાઈ 2025 અને હવે ડિસેમ્બર 2025ની મુદત પાડી દેવાઈ છે, આ કામગીરી વિક્રમ સંવત 2082માં પૂર્ણ થશે ત્યારે પોરબંદરને મેડિકલ કોલેજ, અધતન હોસ્પિટલ મળશે. આ ઉપરાંત પોરબંદરના છાંયા ચોકીથી છાંયા મુખ્ય માર્ગ પર મનપા દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવશે. રૂ. 14.64 કરોડના ખર્ચે 2.5 કિમીનો આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે જે અધતન અને આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે અસ્માવતી રિવરફ્રન્ટ પાસે 5000 મીટર જમીનની ફાળવણી થશે અને તેમાં તમામ સુવિધાઓ સભર લાઇબ્રેરીનું નિર્માણ થશે.જેમાં 500 સભ્યોની કેપેસિટી ધરાવતી રીડિંગ રૂમ બનશે. સાઉન્ડ સિસ્ટમ, પ્રોજેક્ટર અને ઇન્ટરનેટ સુવિધા 200 જેટલા લોકો માટે બેઠક વ્યવસ્થા થશે, પોરબંદર મનપા દ્વારા મોઢા કોલેજ સામેની વિશાળ જગ્યા પર રૂ. 14.46 કરોડના ખર્ચે અધતન લાયબ્રેરી બનાવવામાં આવશે. સાથોસાથ ગાંધીજી અને સુદામાજીનું અલગ સેક્શન રાખવામાં આવશે અને ડિજિટલ લાયબ્રેરી ઉપરાંત ગાંધીજી અને સુદામાજીની ડિસ્પ્લે ગેલેરી બનશે. રૂ.6.58 કરોડના ખર્ચે 4 અર્બન હેલ્થ સેન્ટરના નવા બિલ્ડીંગ બનાવશે‎પોરબંદર શહેરમાં આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્ય કેન્દ્ર આવેલ છે. શહેરમાં આવેલ સુભાસનગર, શીતલા ચોક,કડીયા પ્લોટ અને છાયા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરના નવા બિલ્ડીંગ બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરાઇ છે. રૂ.6.58 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ આ તમામ કેન્દ્રના બિલ્ડીંગ બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં કેવી સુવિધા ઉપલબ્ધ કરાશે‎પોરબંદરના છાંયા ચાર રસ્તેથી છાંયા મુખ્ય રોડ પર 2.5 કીમોનો આઇકોનિક રોડમાં ફૂટપાથ,‎ડીવાઈડર, ક્રોસિંગ, પાર્કિંગ લેન, યુટિલિટી ડક્ટ, ડેકોરેટિવ લાઈટિંગ, બસ સ્ટોપ અને વરસાદી‎પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

યુવકે જીવાદોરી કાપી:પાદર યાના યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામના 25 વર્ષીય સંજય મુકેશભાઇ ડાભીએ ગઈ તા. 19 ઓક્ટોબરના રોજ રાત્રિના પોતાના ઘરે કોઈ ન હતું તે વખતે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાસો ખાઇ લીધો હતો. જેની જાણ થતા તાલુકા પોલીસે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. ઘટના અંગે મૃતકના ભાઈ મનોજભાઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ માતાજીના મઢે ગયા હતા ત્યારે પાછળથી સંજયભાઈએ ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવકના અંતિમ પગલા પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:ચા બનાવવાનું કહેતા જાનુડાના પરિણીતાનું મૃત્યુ

માળીયાના જાનુડા ગામે છેલ્લા 1 વર્ષથી સાસરે 21 વર્ષીય પરિણીતા પાયલબેન ભીખનભાઇ ચાવડાએ ગઈ તારીખ 15 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે જે રીતે દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન પાયલબેનનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટના અંગે મૃતકના પતિ ભીખનએ પોલીસ સમક્ષના નિવેદનમાં ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ઘરે પત્નીના માતા, પિતા અને માસા જમવા આવ્યા હતા. આથી તે વખતે તેને ચા બનાવવાનું કહેતા જેનું માઠૂં લાવી આવ્યું હતું. જેના કારણે પાયલબેને ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. નિવેદન આધારે ચોરવાડ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. અન્ય એક કિસ્સામાં તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામના 40 વર્ષીય વિનોદભાઈ હરિભાઈ ગોહેલ નામના યુવકે ગઇ તા. 19 ઓક્ટોબરના રોજ સાંજે મેંદરડા તાલુકાના સાસણ નજીક આવેલ હરીપુરથી ભાલેશ્વર વચ્ચેના રસ્તામાં આવેલ પુલીયા પાસે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના વૃધ્ધ પિતા હરિભાઈ નારણભાઈના નિવેદન અનુસાર વિનોદભાઈને બે ત્રણ મહિનાથી મગજનો તાવ આવતો હતો. જેથી તેની માનસિક હાલતમાં હોય જેના કારણે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

દુષ્કર્મ આચરનાર પોલીસના સકંજામાં:સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર દોલતપરાના યુવકની અટક

સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ બાદમાં દુષ્કર્મ આચરનાર દોલતપરાના શખ્સની પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. દોલતપરામાં પંચાયત ઓફિસ પાસે રહેતા 22 વર્ષીય અજય ઉર્ફે ઓઘડ ભનુભાઈ ભેડાએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાને બદનામ કરવાની ધમકી આપી તેનો અપહરણ કરી ભગાડી જઈ અવારનવાર શરીર સંબંધ બાંધી જાતિય સતામણી કરી હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવી હતી. ફરિયાદ આધારે એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમારની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે અજય ઉર્ફે ઓઘડને ઝડપી લઇ પીઆઈ પરમારે પૂછપરછ આદરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

ભવનાથ ખાતે પ્રવાસીઓનો ધસારો:ભવનાથમાં મોડી રાત સુધી ટ્રાફિક, ગ્રાઉન્ડમાં પાર્કિંગ ફૂલ

જૂનાગઢ શહેરમાં તહેવારના દિવસોમાં અને રજાના સમયે ભવનાથ વિસ્તારમાં લોકોનો ધસારો રહેતો હોય છે. દિવાળીના દિવસોમાં તો મોટી સંખ્યામાં શહેરીજનોની સાથે પ્રવાસીઓ પણ ઉમટે છે. જેમાં સોમવારે દિવાળીના દિવસે મોડી રાત સુધી ભવનાથમાં ટ્રાફીક જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં પાર્કિંગ ફૂલ જોવા મળ્યુ. થોડા સમય પૂર્વે ભવનાથમાં રજાના દિવસોમાં સાંજે લાઇટમાં શોર્ટ થવાથી નાના બાળકોની રાઇડ્સમાંથી હવા નીકળવા લાગી હતી. જે રાઇડ્સમાં મોટી સંખ્યામાં બાળકો હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટના બાદ બીજા દિવસે જ તંત્રએ તાત્કાલિક પગલા લઇ તમામ રાઇડ્સ બંધ કરાવી ખાણી-પીણીના સ્ટોલ અને રાઇડ્સધારકોને ગ્રાઉન્ડ ખાલી કરાવવા કહ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના:ઉચ્ચ અભ્યાસ માટે છાત્રોને રૂ. 10 લાખ સુધીની લોન મળશે

અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કાર્યરત છે. કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વર્ષ 2024- 25થી વર્ષ 2030- 31 માટે રૂપિયા 3600 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂપિયા 10 લાખ સુધીની લોનમાં 3 ટકા વ્યાજ માફી મળે છે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે કોઈપણ જાતના ગેરંટર વગર લોન મળશે. રૂ પિયા 8 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના રૂપિયા ૧૦ લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ મુક્તિ તેમજ જે પરિવારની વાર્ષિક આવક રૂપિયા 4.5 લાખ કરતા ઓછી છે તેમને વ્યાજ ભરવામાંથી મુક્તિ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓનું એડમિશન એનઈઆરએફ રેન્કિંગ ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં થયેલું હોવું જોઈએ. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા સુલભ બનાવવામાં આવી છે. આ યોજનાના ઉદેશ સામાન્ય પરીવારના તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ મળી રહે એ માટે છે. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી કે જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા માં પ્રવેશ મેળવે છે, તે ટ્યુશન ફી અને અભ્યાસક્રમને લગતા અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ગેરેન્ટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, મધ્યમ વર્ગીય વિદ્યા ર્થીઓને ઉચ્ચશિક્ષણ માટે ફી ભરવી મુશ્કેલી હોય છે ત્યારે જ આ યોજના હેઠળ 10 લાખ સુધીની લોન મળતી હોય પરિવારજનોમાં આંશિક રાહત પ્રસરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

માથાભારે ઇસમોએ કર્યું 1.20 લાખનું નુકશાન:નિવૃત શિક્ષકે રોડ પર ફટાકડા ફોડવાની ના પાડતા કાર પર લાકડીઓ વરસાવી

શહેરમાં વંથલી રોડ પર કેશોદના નિવૃત્ત શિક્ષકે ફટાકડા ફોડવાની ના પાડતા 5 શખ્સ કાર પર લાકડીઓ વરસાવી રૂપિયા 1.20 લાખનું નુકસાન કર્યું હતું. આ બનાવની મળતી વિગતો એવી છે કે, કેશોદમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ શ્રવણ ધામ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત શિક્ષક રામજીભાઈ નાથાભાઈ પરમાર દિવાળીની રાત્રે 10 વાગ્યે કેશોદથી જુનાગઢ ખાતે રહેતા તેના દીકરીના ઘરે આવવા જીજે 11 બીએચ 9251 નંબરની કાર લઈને નીકળ્યા હતા. રાત્રે 11:15 વાગ્યે જૂનાગઢમાં મધુરમ સાઈબાબાના મંદિર પાસે પહોંચતા છોકરાઓ રોડ પર ફટાકડા ફોડતા હતા. જેથી રામજીભાઈએ ગાડી ઉભી રાખી છોકરાઓને અહીં રોડ પર ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને હરેશ ઉર્ફે હરિયો મેર, અમિત ગઢવી, ગૌશાળા ચલાવતો કમલ મશરૂએ ગાળો કાઢી હતી. જેથી તેને વૃધ્ધે ગાળો બોલવાની ના પાડતા કોમલ મશરૂ જતો રહ્યો હતો. એવામાં બીજા 2 શખ્સે અને સાગણો મરાઠી, ગણેશ ઉર્ફે ગણીયોએ આવી ગાળો કાઢી હરેશ તથા અમિતે લાકડી, લોખંડના પાઇપ અને અન્ય શખ્સોએ પથ્થર વરસાવી કારને રૂપિયા 1.20 લાખનું નુકશાન પહોંચાડી નાસી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

16 જેટલા આગ લાગવાના બનાવ બન્યા:ટીંબાવાડી, જોશીપુરા, દોલતપરા સહિત 16 સ્થળોએ દિવાળીની રાત્રે આગ લાગી

જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારની રાત્રે ફટાકડાને કારણે દોલતપરા, ટીંબાવાડી, જોશીપુરા સહિત 16 જેટલા સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. ફટાકડાના ઉપયોગ દરમિયાન ઉજવણીના ઉત્સાહમાં ઘણી વખત સાવચેતી રાખવામાં નિષ્ફળતા આવી ઘટનાઓનું કારણ બને છે. ફાયરની ટીમને આગ લાગવાની માહિતી મળતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરતા સદનસીબે જાનહાની ટળી હતી. મનપા ફાયર ઓફીસર વિશાલ ટીંબડીયાએ જણાવ્યુ કે, શહેરના દોલતપરા, ટીંબાવાડી, જોશીપુરા સહિતના 16 વિસ્તારોમાં આગની ઘટના બની હતી. ફટાકડાના તણખા નજીકના ઘરો, દુકાનો કે ખુલ્લી જગ્યાઓમાં પડવાથી આગ ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આધુનિક સાધનો અને તેમની કુશળતાનો ઉપયોગ કરીને આગને ઝડપથી કાબૂમાં લેધા સદનસીબે જાનહાની થઇ ન હતી. ઉલેખનીય બાબત એ છે કે, દિવાળી જેવા તહેવારોમાં ઉત્સાહની સાથે સલામતીનું પણ ધ્યાન રાખવું અનિવાર્ય છે. ઉપરાંત, નાગરિકોને પણ પોતાની જવાબદારી સમજીને સલામત રીતે તહેવારોની ઉજવણી કરવી જરૂરી છે. દિવાળીનો તહેવાર શાંતિમય રીતે શહેરીજનો ઉજવી શકે અને આ દિવસોમાં કોઇ અણબનાવ ન બને તે માટે મહાનગર પાલિકા ફાયરની ટીમ તૈનાત રહી હતી. જેમાં દિવાળીના દિવસે શહેરમાં અલગ- અલગ 16 વિસ્તારમાં આગની ઘટના બની હતી. ફાયરની 14 ગાડી અને 35 કર્મીની ટીમો દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી એમ ફાયર અધિકારીએ જણાવ્યુ હતુ. ઝાંઝરડા-ચોબારી રોડ, સરદાર બાગમાં પણ આગ: ક્યાં કેટલુ પાણી વપરાયું ?1) દોલતપરા રામેસ્વર મંદિરપાસેના ભંગારના ડેલામા - 50 લીટર પાણી2) મધુરમ મામા દેવના મંદિર પાસેની દુકાનમાં - 10,000 લીટર પાણી3) ઉપરકોટ પાસે કચરામા આગ - 100 લીટર પાણી4) ઝાંઝરડા રોડ પેટ્રોલ પંપ પાસે ઘાસમા આગ - 750 લીટર પાણી5) લીમડા ચોક જુની કલેક્ટર ઓફિસ પાસે આગ - 100 લીટર પાણી6) ગીરનાર દરવાજા પાસે કચરામા આગ - 100 લીટર પાણી7) ચોબારી રોડ કિસ્ટલ કલબ પાસે આગ - 200 લીટર પાણી8) જલારામ સોસા. રીધ્ધી ટાવર એપાર્ટ. ઘરમા - 400 લીટર પાણી9) ચોબારી રોડ ગ્રીનસીટી પાસે આગ - 800 લીટર પાણી10) ઝાંઝરડા રોડ ભીંડી જ્વેલર્સની પાછળ - 1500 લીટર પાણી11) દાતાર રોડ શ્યામ વાડી પાસે આગ - 200 લીટર પાણી12) ચોબારી રોડ કલ્પવન રેસિડેન્શિયલ પાસે - 1000 લીટર પાણી13) ટીંબાવાડી બાયપાસ આસોપાલવ-2 પાસે - 500 લીટર પાણી14) દોલતપરા મારુતિ હોટલ પાસે કારખાનામાં - 19000 લીટર પાણી15) ઝાંસીની રાણી પ્રતિમા પાસે આગ - 200 લીટર પાણી16) જોષીપરા આદિત્યનગર કચરામા આગ - 100 લીટર પાણી

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

RTO કચેરીએ કરી લાલ આંખ:ઓવરસ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના ગુનામાં 5 વર્ષમાં 401 લાયસન્સ રદ્દ

જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરીને દંડ ઉપરાંત લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરીને 401 વાહન ચાલકોના લાઈસનસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 410 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા નોટિસો આપીને સપાટો બોલાવી દીધો છે. જૂનાગઢમાં ઓવરસ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, રોંગ સાઈડમાં વાહનો દોડવનારાઓ સહિતનાઓને ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપીને મેમો ઈસ્યુ કરાય છે અને તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે. જેના આધારે આરટીઓ કચેરીમાં યોજવામાં આવતી સુનાવણીમાં વાહન ચાલકોને બોલાવીને સાંભળવામાં આવે છે. જે બાદ તેની સામે વધુમાં વધુ 6 મહિના સુધી લાઇસન્સ સ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ આરટીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં ઓવરસ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતના ગુનામાં 401 અરજદારોના ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે અને 410ને નોટીસ આપવામાં આવી છે એમ આરટીઓ અધિકારીએ જણાવ્યુ છે. સસ્પેન્સના સમયગાળામાં વાહન ચલાવે તો તંત્ર દ્વારા વધુ સજા કોઈ વાહન ચાલકનું ત્રણ મહિના લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી પણ તે વાહન ચલાવતો પકડાય તો ફરી સુનાવણીમાં બોલાવવામાં આવે છે અને તેનું લાઇસનસ છ માસ માટે સસ્પેન્ડ કરાય છે. સુનાવણીમાં વાહનમાલિકો વિવિધ દલીલો કરતા હોય છે પણ દલીલો માન્ય નહીં રાખી આરટીઓ કુલ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડનો હુકમ કરે છે. આ ગુનામાં વધુમાં વધુ 6 માસ સુધી લાયસન્સ સસ્પેન્ડ થઇ શકેઆરટીઓ કચેરી દ્વારા થતી કાર્યવાહીમાં અકસ્માત ઓવરસ્પીડ કે, ડેન્જર ડ્રાઈવિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં સંબંધિત વાહનચાલકનું છ મહિના લાઈસન્સ સસ્પેન્ડ થાય છે. આ દરમિયાન તે વાહન ચલાવતો પકડાય તો દંડની સાથે જેલની સજા સુધીની કાર્યવાહી પણ થઇ શકે છે એમ જણાવેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

ગોઝારો અકસ્માત સર્જાયો:બાઈક સ્લીપ થતા ભાણેજની પાછળ બેઠેલા માસીનું મૃત્યુ

વિસાવદર પાસે બાઈક સ્લીપ થતા ભાણેજની પાછળ બેઠેલા માસીનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માત બાદ બાઈક માલિક ફરાર થઇ ગયો હતો. અકસ્માત અંગે મળતી વિગતો એવી છે કે, કોડીનાર તાલુકાના મિતિયાઝ ગામે સાસરે સંગીતાબેન 18ના રોજ દિવાળી તહેવાર સબબ તેના કોડીનારના કંટાળા ગામે રહેતા પિતા રાણાભાઇ સોમાભાઈ પરમાર ના ઘરે આવ્યા હતા. અને બીજા દિવસે સવારે સંગીતાબેન, તેના મોટા બહેનનો દીકરો કાર્તિક, દોઢ વર્ષની બાળકી જૂનાગઢ ફરવા જવાનું કહી નીકળ્યા હતા. મોડું થઈ જતા રાત્રી જૂનાગઢ રોકાયા હતા. સોમવારે સવારના 10 વાગ્યે સંગીતાબેન, કાર્તિક, બાળકી સંગીતાબેનનો રાજકોટનો મિત્ર મયુર જાદવના જીજે 03 પીસી 0123 નંબરનું બાઈક લઈને જૂનાગઢથી કોડીનાર આવવા નીકળ્યા હતા. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. મયુરે બાઈક ચલાવવા કાર્તિકને આપ્યું હતું. વિસાવદરના નવાણીયા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક બગસરા રોડ પર કાર્તિકે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક પરથી પડી જવાથી ઇજા થતા બીલખા ખાતે સારવારમાં ખસેડાયા હતા. બાઈકનો માલિક મયુર જાદવ બાઈક લઈને બિલખા આવું છું તેમ કહી જતો રહ્યો હતો. બિલખા સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સંગીતાબેનને મૃત જાહેર કરતા ગમગીની પ્રસરી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસે મૃતકના પિતા રાણાભાઇની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

ગોઝારો અકસ્માત સર્જાયો:ફટાકડા લઇ પરત ફરી રહેલાં 2 મિત્રોને અકસ્માત નડ્યો, 1નુ મોત

કેશોદના રાણિંગપરા ગામના સગીર અને તેનો મિત્ર ફ્ટાકડા લઈ ડબલ સવારીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેયરિંગ પર કાબું ગુમાવતાં બાઇક સ્લિપ થવાની ઘટનામાં સગીરનું મોત નિપજ્યું હતું જયારે બાઈકમાં પાછળ સવારી કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. પોલિસે અકસ્માતની ઘટના અંગે મરણજનાર સગીર વિરૂધ્ધ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી હતી. અક્સ્માત અંગે મળતી વિગત મુજબ રાણિંગપરા ગામે રહેતાં એક સગીર અને તેનો મિત્ર હિતેશ ભરતભાઈ સરવૈયા ડબલ સવારીમાં કેશોદ શહેરમાંથી ફટાકડા ખરીદ કરી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે એન પી કોલેજથી આગળ નવા બનેલ પુલ નજીક એક કારને ફુલ સ્પિડમાં ઓવરટેક કરવા જતાં સ્ટેયરિંગ પર કાબું ગુમાવતાં બાઈક સ્લિપ થયું હતું. આ બાઈક સ્લિપ થવાની ઘટનામાં સગીર અને તેનો મિત્ર બંને ગંભીર રીતે ઘવાયાં હતાં. ઇજાગ્રસ્ત આ બંનેને 108 ટીમ મારફત સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતાં. જેમાં હાજર ડોક્ટરે સગીરને તપાસી તેનું મોત થયાનું જાહેર કર્યું હતું. જયારે બાઈકની પાછળ સવારી કરતાં તેનો જ મિત્ર ગંભીર રીતે ઘવાતાં તેને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં પાછળ બેસી બાઈક સવારી કરતાં હિતેષ ભરતભાઈ સરવૈયાએ ફરિયાદ આપતાં પોલીસે સગીર વિરૂદ્ધ કાયદાના સંઘર્ષમાં આવવું, બેફિકરાઈ પૂર્વક બાઈક ચલાવવી પાછળ બેસેલને યુવકને ઇજા પહોંચાડી બાઈક ચાલકે તેનું પોતાનું મોત નિપજાવવાની ઘટનામાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

પ્રાથમિક શાળા બિલ્ડીંગનું MLAના હસ્તે લોકાર્પણ:રાજુલાના ભાક્ષીમાં નવી બનેલી શાળા ખુલ્લી મુકાઇ‎

રાજુલા તાલુકાના ભાક્ષી નંબર 2 ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 30 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ નવા બનેલ પ્રાથમિક શાળા બિલ્ડીંગનું આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં નવનિર્મિત ભવનાથ મહાદેવના મંદિરમાં ધારાસભ્ય દ્વારા 121000 હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું તેમજ મંદિરના પટાંગણમાં બ્લોકપેવીંગની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કરવાની જાહેરાત કરી હતી. સાથે ધારાસભ્યએ સર્વોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે દાદ બાપુ કાતર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજભાઈ પુરોહિત, શુકલભાઈ બલદાણીયા, ભાજપ અગ્રણી કનુભાઈ ધાખડા, પૂર્વ કારોબારી ચેરમેન ડો.હિતેશભાઈ હડિયા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરજભાઈ નકુમ, કમલેશભાઈ મકવાણા, ભાક્ષી સરપંચ મંગળુભાઈ ધાખડા, વાવેરા પૂર્વ સરપંચ બીસુભાઈ ધાખડા, પ્રજાપતિ સમાજ અગ્રણી માધુભાઈ છાપરી, દીપડીયા સરપંચ પ્રેમજીભાઈ શિયાળ, ભાક્ષી ઉપસરપંચ જીલુભાઈ ભૂકંણ, અગ્રણી કાનભાઈ જાજડા, પૂર્વ સરપંચ ભનુભાઈ પાંડવ, વાવેરા કોળી સમાજ અગ્રણી ગોવિંદભાઈ સાખટ, પ્રતાપભાઈ ધાખડા, ભાક્ષી પ્રાથમિક શાળા સ્ટાફ સહીત સ્થાનિક આગેવાનો તેમજ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

અદ્ભુત શણગાર:ભારતમાતા સરોવરને રોશનીનો શણગાર

લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ ભારત માતા સરોવરને દિપાવલીના તહેવાર પર રોશનનીનો શણગાર કરવામાં આવ્યો હતો. દૂધાળામાં ગુજરાત સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સહયોગથી અનેક સરોવરો બનાવવામાં આવ્યા છે. જે પૈકી ભારત માતા સરોવરમાં પાણી છલોછલ ભરેલું છે. સરોવર તરફના રસ્તે અને બંને બાજુ તથા હેતની હવેલી ખાતે મોટા પ્રમાણમાં રોશની કરવામાં આવી છે. રાતના સમયે અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોશની અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા ઉમટ્યા હતા. અહીં લાભ પાંચમ સુધી પ્રવાસીઓનો ધસારો રહે છે. આસપાસના અન્ય સરોવરો પણ રમણીય હોય લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. અમરેલીથી ખીજડીયા જંકશન સુધી રેલવે બ્રોડગેજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં અમરેલીને બ્રોડગેજ રેલવેની સુવિધા મળી જશે. અહીં બ્રોડગેજની કામગીરી વેગવંતી બની હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

MLAએ કર્યું સરાહનીય કાર્ય:ઝીંઝુડા નજીક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને લઈ ધારાસભ્ય કસવાલા હોસ્પિટલે પહોંચ્યા

સાવરકુંડલાના ધારાસભ્ય દિપાવલીના દિવસે એક સરાહનીય કાર્ય કર્યું હતું. ઝીંઝુડાથી સાવરકુંડલા રોડ પર ગઈ કાલે એક એકસીડન્ટ થયું હતું જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ સમયે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ત્યાંથી પસાર થતાં મદદે દોડ્યા હતા. અકસ્માતમાં ઇજા થયેલ વ્યક્તિ રાહુલ અશોકભાઈ બિહારીને પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલ સુધી સારવાર અર્થે લઈ જઈ સારવાર કરાવી હતી. ઇજાગ્રસ્ત ને જ્યાં સુધી સારવાર ચાલી ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. તસવીર- સૌરભ દોશી

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

બે શખ્સો બેઝ બોલના ધોક્કા લઈને વેપારી પર તુટી પડ્યા:ધારીમાં વેપારી અને તેના પરિવારને માર માર્યો, રાવ

ધારીમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરવાનું મનદુ:ખ રાખી વેપારી અને તેમના પરિવાર પર બે શખ્સોએ બેઝ બોલ અને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. ધારીમાં જુના સિનેમા રોડ પર રહેતા અને ફુલહારનો વેપાર કરતા આદિલભાઈ કાદરભાઈ બોઘાણી (ઉ.વ.29)એ અહીંના અકરમ સંધાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે અગાઉ અકરમ સંધાર સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે વાતનું મનદુ:ખ રાખી અકરમ સંધાર અને અજાણ્યા શખ્સે આદિલભાઈ બોઘાણી, અમાનભાઈ તથા હુરેન પર હુમલો કર્યો હતો. તેમજ અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધારી પોલીસ મથકમાં બને સામે ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શનનો સમય 4 કલાક વધારાયો:આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીનો ‎ધસારો વધતા 6 વધારાની બસો મુકાઈ‎

ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. દિપાવલી પર્વની રજામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા વધારાની છ બસો પણ મૂકવામાં આવી છે. અને પાર્કનો સિંહ દર્શનનો સમય ચાર કલાક સુધી વધારવામાં આવ્યો છે આંબરડી સફારી પાર્કમાં હાલમાં 6 સાવજ રાખવામાં આવ્યા છે. અહીં આડા દિવસે પણ પ્રવાસીઓની મોટી સંખ્યામાં અવર-જવર રહે છે. પરંતુ દીપાવલી પર્વની રજાઓના સમયગાળા દરમિયાન માત્ર ગુજરાત નહીં દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. ખાસ કરીને સિંહદર્શનનું આકર્ષણ વધારે હોય છે. આંબરડી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે 5 બસ રાખવામાં આવી છે. પરંતુ દીપાવલી પર પ્રવાસીઓનો ધસારો વધતા અહીં વધારાની 6 બસ પણ ગોઠવવામાં આવી છે . બીજી તરફ અત્યાર સુધી પાર્કમાંથી દર્શનનો સમય સવારના 8થી 11 અને બપોરના 3થી 5નો હતો. પરંતુ હવે તેમાં 4 કલાકનો વધારો કરી સવારના 8 થી સાંજના 5 સુધી સતત સિંહ દર્શન કરાવવામાં આવે છે. પાર્કમાં સિંહ ઉપરાંત દીપડાની પણ અવરજવર રહે છે. વિવિધ પ્રકારના હરણ, નીલગાય, કાળીયાર ઉપરાંત ક્યારેક અહીં અજગર પણ જોવા મળે છે. વન વિભાગ દ્વારા એક રૂટમાં 40 થી 45 મિનિટ સુધી પ્રવાસીઓને પ્રકૃતિના દર્શન કરાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

જીવલેણ હુમલો:ખાંભાના ત્રાકુડામાં યુવક પર કુહાડી અને તલવાર વડે હુમલો

ખાંભાના ત્રાકુડામાં બાઈક ધીમુ ચલાવવા મુદ્દે યુવક પર કુહાડી અને તલવાર વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ત્રણ શખ્સો સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્રાકુડાના સાગરભાઈ નારણભાઈ સાગઠીયા (ઉ.વ.33)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અહીંના દડુ રામભાઈના મજુરો તેમની બાઈક સ્પીડમાં ચલાવી તેમના ઘર પાસેથી નિકળતા હતા. ત્યારે ઘરની બહાર તેના બાળકો રમતા હોય આ બાળકોને બાઈક ભટકાવવાની ભીતિ સેવાઈ રહી હતી. ત્યારે સાગરભાઈ સાગઠીયાએ મજુરોનો ઠપકો આપ્યો હતો અને બાઈક ધીમે ચલાવવા કહ્યું હતું. જેનું મનદુ:ખ રાખી દડુ રામભાઈ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર કુહાડી અને તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ અંગે ખાંભા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ડીવાયએસપી જયવિર ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

મનપાની બેદરકારી:ધોળા દિવસે ચોપાટી ખાતે સ્ટ્રીટલાઈટ ચાલુ

પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટલાઈટ આવેલ છે.પોરબંદરની ચોપાટી ખાતે મનપા હસ્તકની સ્ટ્રીટલાઈટ ધોળાદિવસે ચાલુ જોવા મળી હતી.મનપાના અધિકારીઓની બેદરકારીને લઈને સ્ટ્રીટલાઈટના વિજબીલમાં વધારો થશે. પોરબંદર શહેરના મુખ્ય માર્ગો તેમજ શહેરની સોસાયટીના માર્ગો પર મનપા હસ્તકની સ્ટ્રીટલાઈટ આવેલ છે. આ સ્ટ્રીટલાઈટને ચાલુ બંધ કરવા પણ મનપા દ્વારા કર્મચારીઓ નિમણૂક કરવામાં આવ્યા છે. પોરબંદર શહેર ઉપરાંત ચોપાટી ખાતે પણ મનપા હસ્તકની સ્ટ્રીટલાઈટ આવેલ છે. પરંતુ કોઈ કારણોસર આ સ્ટ્રીટલાઈટ ધોળાદિવસે બપોરના 1 વાગ્યે સુધી ચાલુ જોવા મળી હતી. મનપાના કર્મીઓની બેદરકારીને લઈને સ્ટ્રીટલાઈટના વિજબીલમાં વધારો થશે.જેને લઈને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. એક તરફ મનપા દ્વારા શહેરમાં આવેલ સ્ટ્રીટલાઈટના વિજબીલમાં ઘટાડો કરવા એલ.ઇ.ડી.સ્ટ્રીટલાઈટ લગાવી રહી છે તો બીજી તરફ મનપાના કર્મીઓની બેદરકારીને લઈને ધોળે દિવસે સ્ટ્રીટલાઈટ ચાલુ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 4:00 am

રાજકોટ ટ્રીપલ મર્ડર કેસમાં બેની ધરપકડ:ઉશ્કેરાયેલા અરુણ બારોટે તેના ભાઈ સહીત સાગરીતોને બોલાવી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા, CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ

• અરૂણની હત્યા કેસમાં મૃતક વિજયનો પુત્ર સુધીર સારવાર હેઠળ રાજકોટ શહેરમાં કાળી ચૌદશની રાત્રી બે પરિવારો માટે કાળ બનીને આવી હતી રાત્રીના 12.30 વાગ્યા આસપાસ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા અને વિસ્તારમાં બેખૌફ બનેલા અરુણ બારોટે તેના ભાઈ સહીત સાગરીતોને બોલાવી પરમાર બંધુ અને તેના પરિવાર ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બન્ને ભાઈઓના મોત નિપજતા ઉજાસનો પર્વ પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આ કેસમાં પોલીસે મૃતક વિજય પરમારમાં ઈજાગ્રસ્ત પુત્ર સુધીરની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી હત્યામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ યથાવત રાખી છે. જયારે સામા પક્ષે અરુણ બારોટની હત્યા કેસમાં તેના ભાઈએ આપેલ ફરિયાદ મુજબ પરમાર બંધુના મોત નિપજ્યા છે જયારે વિજય પરમારનો પુત્ર સુધીર પરમાર ઈજાગ્રસ્ત હોય જેની સારવાર પૂર્ણ થયા બાદ પુછપરછ કરી તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસના એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત તારીખ20.10.2025ના રોજ રાત્રીના સમયે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં ફરિયાદી સુધીર પરમારની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હત્યામાં સંડોવાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો રામજી ચૌહાણ (ઉ.વ.29) અને મનીષ રમેશ ખીમસુરીયા (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન હત્યા સમયે આ બન્ને આરોપીઓ હાજર હોવાનું અને હત્યાના બનાવમાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. જયારે આ વિસ્તારમાં રહેલ સીસીટીવી ફૂટેજ ચકાસી અન્ય કોણ કોણ હાજત હતા તેની ઓળખ કરી પુછપરછ કરી આગળની તપાસ પીઆઇ જીજ્ઞેશ દેસાઈ ચલાવી રહ્યા છે વધુ આરોપીઓની ભૂમિકા જણાશે તો તેમની પણ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હત્યાના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અરુણ બારોટ કે જેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક અરુણ બારોટ આંબેડકરનગર વિસ્તારમાં અવાર નવાર સીન સપાટા કરતો હતો અને રોફ પણ જમાવતો હતો હત્યાના બનાવ સમયે પણ તે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી બનાવ સ્થળેથી નીકળ્યો હતો અને સામે વાળાની બાઇકને હડફેટે લીધી હતી જે બાદ બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી અરુણે તેના ભાઈ સહિતના સાગરીતોને બોલાવી પરમાર બંધુ ઉપર છરી અને ધોકાથી હુમલો કર્યો હતો જે જીવલેણ સાબિત થતા બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા. ફરિયાદી સુધીરભાઈ વિજયભાઈ પરમાર (ઉ.વ.20)એ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તા.20.10.2025ના રાત્રીના હું તથા મારા મીત્ર નરેશભાઈ તથા નીલેશભાઇ મુછડીયા તથા હીતેષભાઈ ચાવડા ઘરની સામે આંબેડકરનગર શેરી નં.11(ક)માં ઉભા ઉભા વાતો કરતા હતા. તે સમયે રાવણ ચોક પાસે રામાપીરના મંદીર પાસે રહેતો અરૂણ વીનુભાઇ બારોટ બે વખત અમારી બાજુમાંથી ફોર વ્હીલ ફુલ સ્પીડમાં લઈને નીકળ્યા હતા અને અમે બધા મીત્રો ત્યાં જ રોડ ઉપર વાતો કરતા હતા. દરમ્યાન ત્રીજી વખત પણ અરૂણ ફોરવ્હીલ અમારી બાજુમાંથી કટ મારી નીકળ્યો હતો અને મારા ઘરે મહેમાન આવ્યા હતા તેના વાહન સાથે કાર અથડાવી હતી જેથી મે મારા પપ્પાને ફોન કર્યો હતો અને કહ્યું કે આપણા ઘરે મહેમાન આવ્યા છે તેના વાહન સાથે કાર ભટકાયેલ છે. દરમ્યાન અરૂણ બારોટ ત્યાં જ તેની કાર લઇ ઉભો હતો અને મારી વાતો સાંભળતો હતો અને તે તરત જ તેની કારમાંથી નીચે ઉતર્યો હતો તેની સાથે કારમાંથી બીજા બે શખ્સો ઉતર્યા હતા અને મારી પાસે આવી અરૂણ બારોટ ગાળાગાળી કરવા લાગ્યો હતો.. દરમ્યાન મારા મોટાબાપુ સુરેશભાઇ તથા મારા પપ્પા વિજયભાઇ આવી ગયા હતા અને અરૂણને સમજાવવા લાગ્યા હતા કે અત્યારે તહેવાર છે ઝઘડો ન કરાય તો અરૂણે કહ્યું કે તમારે મસ્તી જ કરવી હોય તો હું હથીયાર મગાવી લઉ આમ કહી તેને કોઇને ફોન કર્યો હતો અને થોડીવારમાં અરૂણ બારોટનો સગો ભાઇ રમણ બારોટ તથા તેની સાથે અજાણ્યો એક વ્યકિત ડબલ સવારીમાં સફેદ કલરનું વાહન લઈ આવ્યો હતો રમણના હાથમાં બે છરીઓ હતી અને તેની સાથે આવેલ વ્યકિતના હાથમાં બેટ હતું. તેઓ મોટાપાયે ઝઘડો કરવા જ આવ્યા હતા જેથી મારા મોટાબાપુ સુરેશભાઇએ કહ્યું કે તમે શાંતી રાખજો હું વાત કરી લઉં છું. જેથી હું તથા મારા પપ્પા ત્યાં સાઈડમાં ઉભા હતા. દરમ્યાન અરૂણ તેનો ભાઇ રમણ તથા તેના ત્રણ મીત્રો મારા મોટાબાપુ સાથે ગાળાગાળી ઝઘડો કરવા લાગ્યા હતા જેથી તેઓને મારા મોટાબાપુએ કહ્યું કે દિવાળીનો તહેવાર છે ઝઘડો ન કરો. અરૂણ અને રમણે કહ્યું કે આજે તો તમને પતાવી દેવા છે તેમ કહી મારા મોટાબાપુ સુરેશભાઈને અરૂણના મિત્રોએ પકડી અને રમણ બારોટ પાસે બે છરી પૈકી એક છરી અરૂણને આપી દીધી હતી. અરૂણે તે છરીથી મારા મોટાબાપુને બે ત્રણ ઘા મારી દીધા હતા જેથી હું તથા મારા પપ્પા આ લોકોને છોડાવવા વચ્ચે પડતા રમણ બારોટે મારા પપ્પાને આડાઅવળા બે-ત્રણ ઘા છરીના મારી દીધા હતા તેઓને લોહી નીકળવા લાગ્યા હતા અને તેઓ ત્યાં પડી જતા દેકારો થતા મારા મમ્મી હંસાબેન પણ આવી ગયા હતા તો રમણ બારોટે મને કહ્યું કે આજે તો તને પણ જીવતો રહેવા દેવો નથી પતાવી જ દેવો છે તેમ કહી મને પણ છરીનો એક ઘા પાછળ કમરમાં ડાબી બાજુ મારી દીધો હતો અને મારા મમ્મીને અરૂણે કપાળના ભાગે છરી મારી દીધી હતી આ જપાજપી દરમ્યાન અરૂણ બારોટ તથા રમણ બારોટને પણ ઇજા પહોંચી હતી. દેકારો થતા મારા કાકા જગદીશભાઈ તથા બીજા માણસો આવી જતા આ લોકો ભાગી ગયા હતા. મારા મોટાબાપુ સુરેશભાઈ તથા મારા પપ્પાને ખુબ જ લોહી નીકળતું હોય જેથી મારા કાકા જગદીશભાઇ કારમાં સરકારી દવાખાને સારવારમાં લઇ આવ્યા હતું અને હું તથા મારા દાદી દેવુબેન બંને જણા મારી કારમાં સરકારી દવાખાને સારવારમાં આવ્યા હતા હાલ હું સરકારી હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં દાખલ છું. મારા મોટાબાપુ સુરેશભાઈને પેટમાં તથા છાતીના ભાગે ડાબા હાથે છરીના ઘા વાગવાથી ગંભીર ઇજા પહોંચી હતી તથા મારા પપ્પા વિજયભાઇને પેટમાં જમણી બાજુ પડખામાં તથા છાતીના ભાગે છરીના ઘા વાગવાથી ગંભીર ઇજા પહોંચી હતી તેઓ બંને મૃત્યુ પામ્યા છે મને પણ કમરમાં ડાબા પડખામાં છરીનો ઘા વાગવાથી ઈજા પહોંચી છે અને મારા મમ્મી હંસાબેનને પણ મારામારીમાં કપાળના ભાગે ઇજા પહોંચી છે. આ બનાવ રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ મારા ઘર સામે બનેલ છે. જેથી અરુણ વિનુભાઇ બારોટ તથા તેનો ભાઇ રમણ વિનુભાઇ બારોટ તેમજ તેની સાથેના અજાણ્યા ત્રણ વ્યકિતઓ સામે મારી ફરીયાદ છે જેના આધારે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:19 am

જૂનાગઢમાં ત્રણ શખ્સો યુવક પર ધોકા-પાઈપથી તૂટી પડ્યા, CCTV:રાજભા ગઢવીના સંબંધીએ માર માર્યાનો આક્ષેપ, યુવકે કહ્યું- મહેશદાન ગઢવીએ રિવોલ્વર કાઢી મારવાની ધમકી આપી

જુનાગઢ શહેરમાં કાયદા અને વ્યવસ્થા જાણે નબળો પડી ગયો હોય એમ સરાજાહેરમાં મારામારીની ઘટનાઓ ઘટી રહી છે. ગઈકાલે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત PSIના પુત્ર સહિત 5 લોકોએ 28 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યારે આજે સાંજે સાડા પાંચ વાગ્યે મધુરમ વિસ્તારની પાનની દુકાન પર 7થી વધુ લોકોએ યુવક મિહિરદાન લાંગડીયા પર ધોકા-પાઈપથી હુમલો કર્યો. આ હુમલાખોરોમાં બે-ત્રણ શખસો લોક સાહિત્યકાર રાજભા ગઢવીના સગા પણ સામેલ હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ​પાનની દુકાને બેઠેલા યુવક પર ધોકા-પાઇપથી હુમલો​મધુરમ બાયપાસ નજીક આવેલી પાનની દુકાનમાં 7 જેટલા શખ્સોએ યુવકને બેફામ માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના બંને પગમાં ફેક્ચર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ​ઈજાગ્રસ્તે મહેશે રાજભાની રિવોલ્વર કાઢી ધમકાવ્યાનો આક્ષેપ કર્યો​હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ મિહિરદાન લાંગડીયાએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે હું અને મારા કાકા બેય જાતા'તા ત્યારે અભય ગઢવી અને મહેશ બેય આવતા'તા. એમાંથી અભય ગઢવી દારૂ પીધેલ હતો. અમને બેયને રોકી મન પડે એમ ગાળું કાઢી અને અમને બેયને મારવાની ધમકી આપી. મહેશે રાજભાની રિવોલ્વર કાઢી અમને બતાવી અને મારવાની ધમકી આપી. ​અમે ત્યાંથી કંઈ બોલ્યા નહીં, વયા ગયા પછી આજે બપોરે 5:30 વાગ્યે બે ગાડી, એક ફોર્ચ્યુનર અને એક થાર લઈ અને આવ્યા. મને કીધું કે તારા કાકા ક્યાં છે? એ ના મળતાં મને બધાએ ધોકા અને પાઇપ વડે માર્યો. હું માથું બચાવીને સૂઈ ગયો હતો. એ બધાએ મને મારવાનું શરુ જ રાખ્યું , મારા પગમાં ફેક્ચર કરી નાખ્યા છે. જતા-જતા મને ધમકી દઈને ગયા છે કે, જો હવે તું પાછો ઊભો થયો એટલે પાછો તને જાનથી મારી નાખવામાં આવશે. ​હુમલો કરાવનાર અને હુમલાખોરો કોણ હતા?​યુવકના જણાવ્યા અનુસાર આ બધાને મોકલનાર અભયદાન ગઢવી (અભયદાન સૂરુ) છે. રાત્રે અભય ગઢવી સાથે બોલાચાલી થઈ હતી. તે બાબતે તેણે અન્ય શખસોને મોકલ્યા હતા. હુમલામાં મહેશ ગઢવી, લખન ગઢવી (રાજભા ગઢવીનો ડ્રાઈવર), પૂંજો મેર, ભરત ઓડેદરા, કાનો ગઢવી અને અન્ય બે-ત્રણ જણા મળીને કુલ 7થી વધુ શખસો બે ગાડી લઈને આવ્યા હોવાનો ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યા છે. બીજી તરફ યુવકે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે? ઈ રાખવાનો એને કંઈ હક છે? ​એક જ દિવસના ગાળામાં શહેરના મધુરમ જેવા વિસ્તારમાં હત્યા અને ત્યારબાદ ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના બનતા પોલીસની બેખૌફ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લુખ્ખા અને અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ તેઓ બેફામ બન્યા છે. ઇજાગ્રસ્ત યુવકે આ બાબતે ન્યાયની માંગણી કરી

દિવ્ય ભાસ્કર 22 Oct 2025 12:05 am

'કુકરના ઢાંકણ વડે માર માર્યાના CCTV ફૂટેજ છે':સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપઘાતની દુષ્પ્રેરણામાં ફેશન ડિઝાઈનગરની જામીન અરજી નામંજૂર કરી

સુરતના પાલ વિસ્તારમાં એક વ્યક્તિને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી ફેશન ડિઝાઇનરની જામીન અરજીને 17માં એડિશનલ સેશન્સ જજ ચંદ્રકાન્ત નાથુ દેસાઈની કોર્ટે નામંજૂર કરી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કેસની ગંભીરતા અને પુરાવાની સ્થિતિ પર ભાર મૂક્યો હતો. શું છે સમગ્ર મામલો?પાલ પોલીસ સ્ટેશનમાં 37 વર્ષીય ફેશન ડિઝાઇનર નિવાસ જયનારાયણ સિંઘ (રહે. સ્વસ્તિક એવન્યુ, પાલ) વિરુદ્ધ 9 ઓક્ટોમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પર એક વ્યક્તિને બેફામ મારપીટ કરી, માનસિક ત્રાસ આપવાનો આરોપ છે, જેના પગલે ત્રાસિત વ્યક્તિએ છ દિવસ બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં પોલીસે આરોપી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. કોર્ટમાં રજૂ થયેલી દલીલોઆરોપી ફેશન ડિઝાઇનરના પક્ષે જામીન મેળવવા માટે કોર્ટ સમક્ષ દલીલ રજૂ કરી હતી કે, આત્મહત્યાની ઘટના અને આરોપી સાથેના ઝઘડા વચ્ચે છ દિવસનું મોટું અંતર છે, તેથી તેને દુષ્પ્રેરણા ગણી શકાય નહીં. વધુમાં, આરોપી સામે કોઈ સીધા પુરાવા, જેમ કે સુસાઇડ નોટ, મળ્યા નથી. અરજદારને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેઓ 21 વર્ષથી સુરતમાં ફેશન ડિઝાઇનર તરીકે કાર્યરત એક ધંધાદારી વ્યક્તિ છે, જે કુટુંબની જવાબદારી ધરાવે છે. તેથી જામીન પર મુક્ત કરવામાં આવે તો તેઓ પુરાવા સાથે કોઈ ચેડાં કરશે નહીં. જોકે, સરકાર પક્ષે આ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. વાંધા સોગંદનામું રજૂ કરીને સરકારી વકીલે જણાવ્યું હતું કે, કેસના સીસીટીવી ફૂટેજમાં મરણ જનાર અને આરોપી વચ્ચે થયેલો ઝઘડો સ્પષ્ટ દેખાય છે. વળી, ફરિયાદી પક્ષ દ્વારા આ ગુનામાં હત્યાની કલમ (કલમ 302) ઉમેરવા માટે પણ અરજી કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા, પુરાવાની સ્થિતિ અને પોલીસ તપાસ ચાલુ હોવાને કારણે આરોપીને જામીન આપવો યોગ્ય નથી. કોર્ટનો સખત હુકમબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, 17માં એડિશનલ સેશન્સ જજ ચંદ્રકાન્ત નાથુ દેસાઈની કોર્ટે આરોપી ફેશન ડિઝાઇનરની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ કુકરના ઢાંકણ વડે મરણ જનારને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ કેસમાં ઉપલબ્ધ છે. કોર્ટે વધુમાં ટિપ્પણી કરી હતી કે આરોપી સામેના આક્ષેપો ગંભીર છે અને જો આ તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે, તો સમાજમાં વિપરિત અસર પડી શકે એમ છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે ફેશન ડિઝાઇનરને જેલવાસમાં જ રહેવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Oct 2025 10:29 pm

દિવાળીની સુરતીઓએ ધૂમ ફટાકડા ફોડી ઉજવણી કરી:400 મેટ્રિક ટન કચરો વધુ નીકળ્યો, મનપાનું આખી રાત મેગા સફાઇ અભિયાન

પ્રકાશના પર્વ દિવાળીએ સુરતીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી, જેના પરિણામે શહેરમાં કચરાના પ્રમાણમાં જંગી વધારો જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના સફાઈ તંત્રએ આ વધારાના ભારણને પહોંચી વળવા માટે દિવાળીની રાત્રે જ મેગા સફાઈ અભિયાન હાથ ધરીને શહેરને ફરીથી સ્વચ્છ બનાવી દીધું હતું. 400 મેટ્રિક ટન કચરો વધુ નીકળ્યોદિવાળીના તહેવાર દરમિયાન લોકો ઘરોની અને પરિસરની સફાઈ કરતા હોવાથી તેમજ રાત્રે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોવાથી કચરાનો જથ્થો સામાન્ય દિવસોની સરખામણીએ ઘણો વધી જાય છે. સુરત શહેરમાં રૂટિન દિવસોમાં સરેરાશ 2,900થી 3,000 મેટ્રિક ટન કચરો નીકળતો હોય છે. પરંતુ, દિવાળીના તહેવાર પહેલાના છેલ્લા એક અઠવાડિયાથી જ દરરોજ સરેરાશ 350થી 375 મેટ્રિક ટન વધારાનો કચરો એકઠો થઈ રહ્યો હતો. ગઈકાલે દિવાળીના મુખ્ય દિવસે કચરાના પ્રમાણમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. શહેરમાંથી કુલ 3,400 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રૂટિન દિવસોની સરખામણીએ 400 મેટ્રિક ટન જેટલો વધુ હતો. મનપાનું મેગા સફાઇ અભિયાન રાતોરાત સફળકચરાના આ જંગી વધારાને કારણે શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર દિવાળીની રાત્રિ બાદ તુરંત જ કામગીરીમાં જોતરાઈ ગયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ, પુલ, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનો કચરો, કાગળ, અને ઘરોમાંથી નીકળેલા વધારાના કચરાને દૂર કરવા માટે મનપાએ વિશેષ સફાઈ દળ તૈનાત કર્યું હતું. આ મેગા સફાઈ અભિયાન માટે તંત્ર દ્વારા મોટી સંખ્યામાં મેનપાવર અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ 9 લોડર, 16 ટ્રક, 110 ડોર-ટુ-ડોર કચરા ગાડીઓ અને 155 ઈ-વ્હીકલ સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી હતી. આ ઉપરાંત, આશરે 1,650 સફાઈ કામદારોને અલગ-અલગ ઝોનમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. આ તમામ ટીમોએ મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી સતત કામગીરી કરીને શહેરના રસ્તાઓ પરથી કચરો ઉપાડી લીધો હતો અને શહેરને ફરી સ્વચ્છ બનાવ્યું હતું. મનપાએ સ્વચ્છતા જાળવવા માટે ફાયરવર્ક્સ અને પ્લાસ્ટિકના અવશેષો સહિતના કચરાને અલગથી ઉઠાવવાની ખાસ વ્યવસ્થા પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Oct 2025 9:38 pm

શ્રી વર્ણીન્દ્રધામ-પાટડીમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી:આતશબાજી અને દીપમાળાથી મંદિર ઝળહળી ઉઠ્યું

પાટડીના શ્રી વર્ણીન્દ્રધામ મંદિરમાં દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી લાઈટો અને દીપમાળાઓથી સજાવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરને દસ લાખથી વધુ વિજ બલ્બથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરનો નજારો અદ્ભૂત લાગતો હતો. મોડી સાંજે મહાનિરાજન આરતી સાથે 1008 દીવાઓ પ્રગટાવી અસંખ્ય દીપમાળાઓ સજાવવામાં આવી હતી. મંદિર પ્રાંગણમાં રંગબેરંગી દારૂખાનું ફોડીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. બાલ ઘનશ્યામ મંદિરમાં મહિલા ભક્તોએ દીપમાળા સજાવી રાસ-ગરબા દ્વારા દીપોત્સવની આનંદપૂર્વક ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં સંતો અને ભક્તો આનંદિત જોવા મળ્યા હતા, જેમણે દીપોત્સવના આ પવિત્ર અવસરનો ઉત્સાહભેર લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 21 Oct 2025 9:31 pm

વાપી ટાઉન પોલીસે બજારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું:તહેવારોમાં વાહન ચેકિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસી

વાપી ટાઉન પોલીસે દિવાળીના તહેવારોને પગલે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી 21 ઓક્ટોબરે સાંજે 5 કલાકે કરવામાં આવી હતી. ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ વાહનચાલકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન ચોરી, પાકીટમારી કે ચેન સ્નેચિંગ જેવી ગુનાહિત ઘટનાઓ અટકાવવાના હેતુથી પોલીસે આ સતર્કતા દાખવી હતી. વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, ટ્રાફિકને અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરનારાઓને નિયમોનું પાલન કરવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. પોલીસની આ સઘન તપાસને કારણે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Oct 2025 9:30 pm