SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

પરીક્ષાના પ્રેશરમાં પંખે લટકી ગળાફાંસો ખાધો:​​જૂનાગઢમાં કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PI

​જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પરીક્ષાના કારણે ટેન્શનમાં હતીમૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ, મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PI​આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી-જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. આ કેસમાં જાણવા મળ્યું છે કે બાળકી પરીક્ષાનું પ્રેશર સહન નહોતી કરી શકી. મારી તમામ વાલીઓને અપીલ છે કે તમારા સંતાનોની ક્ષમતા સમજો. તેમની ઉપર અતિશય અપેક્ષાઓનો ભાર ન મૂકો. બાળકોને તેમની મનગમતી સ્ટ્રીમ પસંદ કરવા દો જેથી તેઓ દબાણમાં ન આવે. વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હિંમત હારીને આવું પગલું ક્યારેય ન ભરો. પરિવારમાં આક્રંદઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવારની લાડકવાયી દીકરીએ આ રીતે વિદાય લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 9:21 am

ભરૂચના ભોલાવમાં 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ:વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થા સુધરશે, રાત્રિ સુરક્ષા વધશે

ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારના ભોલાવમાં 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાવર જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીના હસ્તે આ ટાવરનું લોકાર્પણ કરાયું હતું. નારાયણ કુંજ વિહાર સોસાયટી નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈમાસ્ટ ટાવરની સ્થાપનાથી ભોલાવ અને નંદેલાવ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. તે રાત્રિના સમયે સુરક્ષા વધારવામાં પણ મદદરૂપ થશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી વિસ્તારમાં મોટી હાઈમાસ્ટ લાઈટિંગની સુવિધા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે. આ ઉપરાંત, ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં બાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે આગામી સમયમાં અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા વધુ વિકાસ કામો માટે પણ ખાતરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 9:02 am

નવ દિવસના બાળકની તસ્કરી: પાંચઆરોપી ઝડપાયા:માનવ તસ્કરીનો ગુનો નોંધાયો, ત્રણ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવ દિવસના બાળકની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આ મામલે સાબરકાંઠા AHTU શાખાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બાળકની અમદાવાદમાં બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને બે લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું. સાબરકાંઠા AHTU શાખાના વિક્રમસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે, માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ. 2 લાખમાં વેચ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હકીકત સાચી જણાતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 143(4), 61(2)(A), 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા A.H.T.U ટીમને બાળ તસ્કરીના આ ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા પાંચ આરોપીઓમાં સાબરકાંઠા જિલ્લાના બે, ઉદેપુર જિલ્લાના બે અને અમદાવાદ જિલ્લાનો એક આરોપી સામેલ છે. તેમના નામ આ મુજબ છે: 1. માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), 2. સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, ખેડબ્રહ્મા, તા. ખેડબ્રહ્મા), 3. દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 4. લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 5. પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (દરબાદ) (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી, તા. જિ. અમદાવાદ).

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:58 am

હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં ચૈત્ર મહિનાની નવરાત્રીનો અનોખો ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ ગઢોડામાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગામના નવરાત્રી માઈ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ગઢોડા ગામની માધ્યમ માતાજીની 'ફરતી નવરાત્રી' અહીંનું મુખ્ય આકર્ષણ છે. શુભ મુહૂર્તમાં માતાજીની સ્થાપના કર્યા બાદ માંડવી ફરતી જોવા મળે છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જગાવે છે. નવરાત્રી ચોકને આકર્ષક લાઈટિંગ અને શણગારથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે વિવિધ કલાકારોની પાર્ટીઓ દ્વારા ગરબાનું આયોજન થાય છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમે છે. ફરતી માંડવી આ નવરાત્રીનું એક વિશિષ્ટ આકર્ષણ બની રહી છે. ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આના કારણે ગઢોડા ગામમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:52 am

ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફન ફેયેસ્તાનું આયોજન:પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના પ્રયાસથી વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

ગીર સોમનાથની CBSC ક્ષેત્રે અગ્રેસર ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા અને તેમનામાં હુન્નર પારખવા માટે એક અનોખા ફન ફેયેસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને હાઈજેનિક ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગેમ્સ સ્ટોલ અને વિવિધ એક્ટિવિટીઝના સ્ટોલ ઊભા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વેરાવળના ગવર્નર રો. ગિરીશ ઠક્કરના હસ્તે રીબીન કાપીને ફન ફેયેસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફન ફેયેસ્તાની ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટોલમાંથી થતી સંપૂર્ણ આવક વિદ્યાર્થીઓ પોતે રાખી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉત્સાહ વધે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉત્સુકતા વધારવાનો અને તેમને વ્યવહારુ બનાવવાનો હતો. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વાઇસ પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને વેરાવળ શહેરના નાગરિકોએ ફન ફેયેસ્તાની મુલાકાત લીધી હતી અને સ્કૂલના આ વ્યવસાયિક કાર્યને બિરદાવ્યું હતું. વાલીઓએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ફન ફેયેસ્તામાં ડિંગુ કાર્ટૂન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ આ ફન ફેયેસ્તાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, તેમ એક યાદીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:52 am

વંદે ભારત ટ્રેનને શામળાજીમાં સ્ટોપેજ મળ્યું:અસારવા-ઉદયપુર વંદે ભારતને લીલી ઝંડી, સાંસદ-મંત્રી ઉપસ્થિત રહ્યા

રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો અને શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, અમદાવાદના અસારવાથી રાજસ્થાનના ઉદયપુર સુધી જતી વંદે ભારત ટ્રેનને યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ મળશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવીને શામળાજી સ્ટોપેજનું સત્તાવાર પ્રારંભ કરાયો હતો. અગાઉ, અમદાવાદના અસારવાથી ઉદયપુર જતી વંદે ભારત ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે, અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની લાંબા સમયથી માંગ હતી. સ્થાનિક સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શામળાજી મંદિરે આવતા દર્શનાર્થીઓ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:46 am

પાટણ SOGએ ચાણસ્માના ઈટોડાથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપ્યો:ગેરકાયદે હથિયાર રાખવા બદલ ગુનો નોંધાયો, વધુ તપાસ ચાલુ

પાટણ SOG શાખાએ ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ઈટોડા ગામના નેળિયામાંથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. SOG પોલીસ કર્મચારીઓ ચાણસ્મા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, ઈટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે તેમને બાતમી મળી હતી કે ઈટોડાથી અંબાલા જતા કાચા નેળિયામાં એક વ્યક્તિ દેશી બંદૂક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે બે પંચોને સાથે રાખીને તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે નેળિયામાં ઉભેલા ગુલમહમદ ઉર્ફે અબ્દુલ હોથભાઇ હયાભાઇ (રહે. ઈટોડા, મૂળ રહે. અમરાપુર પાટી, તા. સમી) ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા, તેના હાથમાંથી એક દેશી હાથબનાવટની બંદૂક મળી આવી હતી. હથિયાર રાખવા અંગે પરવાનો માંગતા, તેની પાસે કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આશરે 2500 રૂપિયાની કિંમતની, 4 ફૂટ 5 ઇંચ લાંબી દેશી બંદૂક જપ્ત કરી હતી. આ મામલે SOGના આર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરતજી હમીરજીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર નવીનચંદ્ર પંડ્યાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:43 am

ભાવનગરમાં ગુનેગારોના ઘરોનું ડિમોલિશન:200થી વધુ પોલીસના બંદોબસ્ત સાથે 4 જેસીબીથી બાંધકામો તોડવાનું શરૂ, મહિલાઓની રોકકળ

ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓ સામે કડક પગલાંરૂપે અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે 23 માર્ચે વહેલી સવારથી ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનો પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:41 am

પોલીસકર્મીઓ માટે માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ:બ્રહ્મા કુમારીઝ દ્વારા ગીર સોમનાથમાં વર્કશોપ યોજાયો

પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સોમનાથ દ્વારા ગીર સોમનાથ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સુરક્ષા દળના જવાનો, પોલીસ વિભાગ, તટ રક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બ્રહ્માકુમારી વિશ્વાબેને આ અંગે માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશના સારંગપુરથી આવેલા બી.કે. સૌરભ ભાઈએ 'શાંત મન – સક્ત રાષ્ટ્રનું નિર્માણ' વિષય પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રસેવામાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્વસ્થ આહાર, દિવસમાં સાત કલાકની પૂરતી ઊંઘ અને પ્રાણાયામ તેમજ વ્યાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. કાર્યક્રમ દરમિયાન, પોલીસ વિભાગના કર્મચારીઓને તેમની ફરજ ઉપરાંત પરિવાર સાથે સંયમ અને શાંત મનથી સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી, તેથી તેને સમજીને કાઉન્સિલિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર નિર્માણમાં સુરક્ષા દળ અને પોલીસ વિભાગ અવિરતપણે પોતાની ફરજ નિભાવે છે. તેમના માનસિક સંતુલન જળવાઈ રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા આયોજનો કરવાનું આહ્વાન કરાયું છે. આના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર સાહેબ, પીઆઈ ગોસ્વામી સાહેબ અને પીઆઈ ગઢવી સાહેબ સહિતના અધિકારીઓના સહયોગથી આ વર્કશોપ યોજાયો હતો. જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો. બી.કે. અસ્મિતા દીદીએ ધ્યાન તકનીક પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રોજ સવારે 10 મિનિટ માટે મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું અત્યંત આવશ્યક છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન એકમાત્ર એવો ઉપાય છે જેનાથી તણાવમુક્ત જીવન જીવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:39 am

અમદાવાદમાં વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન:મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમદાવાદમાં 22 માર્ચ, 2026ના રોજ યોજાયેલ વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુ એકતા, નવી પેઢીમાં જાગૃતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો હતો. આ પ્રસંગે ડાયરો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું એક સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:26 am

મંડે પોઝિટીવ:જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે

સમગ્ર વિશ્વમાં 22 માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1992માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 22 માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી 1993માં થઇ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ 2030 સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે. જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે.’ વિશ્વ જળ દિવસ માત્ર પાણી બચાવવાનો સંદેશ નથી, પરંતુ આ વર્ષની થીમ વોટર એન્ડ જેન્ડર (જળ અને લિંગ) અંતર્ગત પાણી અને મહિલાઓના અતૂટ સંબંધને સમજવાનો અવસર છે. છોટાઉદેપુર જેવા ડુંગરાળ અને આદિવાસી બહુલ જિલ્લામાં પાણી એ માત્ર જીવનની જરૂરિયાત નથી, પણ સ્ત્રીઓના આર્થિક અને સામાજિક ઉત્થાનનું માધ્યમ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર અને નસવાડી જેવા તાલુકાઓનું ભૂપૃષ્ઠ ડુંગરાળ હોવાથી ઉનાળો આવતાં જ જળસ્તર ઊંડા ઉતરી જતાં હતા. પરિણામે, માતા-બહેનો માટે પીવાનું પાણી મેળવવું એ એક કપરો પડકાર હતો. પરંતુ, ‘જલ જીવન મિશન’ અને ‘નલ સે જલ' યોજનાએ અંતરિયાળ ગામડાઓમાં ઘરે ઘરે પાણી પહોંચાડી સ્થિતિ બદલી નાખી છે. આજે જિલ્લાની હજારો મહિલાઓ માત્ર ‘પાણી લાવનાર’ (Water Carriers) મટીને ‘જળનું સંચાલન કરનાર’ (Water Managers) બની છે. સરકારના ‘વાસ્મો’ દ્વારા જિલ્લાના પ્રત્યેક ગામે ‘પાણી સમિતિ'ની રચના કરવામાં આવી છે, જેમાં 50% થી વધુ મહિલા સભ્યો છે. પાણીના વિતરણનો સમય નક્કી કરવાથી લઇને પાઇપલાઇનના જોડાણ સુધીના મહત્વના નિર્ણયોમાં હવે નારીશક્તિનું નેતૃત્વ દેખાય છે. વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારા‎મહિલાઓ ઘરઆંગણે શાકભાજી ઉગાડે છે‎છોટાઉદેપુરની હજારો મહિલાઓને ‘ફિલ્ડ ટેસ્ટિંગ કિટ'' દ્વારા પાણીની તપાસ‎કરવાની વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી છે. શુદ્ધ પાણી મળવાને કારણે‎જિલ્લામાં ટાઇફોઇડ અને કોલેરા જેવા જળજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો‎છે, જેનો સીધો લાભ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને મળ્યો‎છે. ઉપરાંત, વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારા આદિવાસી મહિલાઓ‎ઘરઆંગણે શાકભાજી ઉગાડી ‘પોષણ યુક્ત’ આહાર મેળવી રહી છે.‎ ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ થતો‎પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી છેજળ એ જીવન છે જળ વગર જીવ નથી. ઘણી જગ્યા પર પાણીનો વેડફાટ થતો‎હોય છે અને તેની કિંમત સમજાતી નથી. પરંતુ જ્યારે દુકાળ જેવી સ્થિતિ‎‎સર્જાય તેવા સમયે દરેકને‎‎પાણીનું મહત્વ સમજાય છે.‎‎ગ્રામીણ વિસ્તારોમાં ઘણી‎જગ્યાએ પાણીનો વ્યર્થ વ્યય થતો હોય છે. તળાવમાં સંગ્રહાયેલું પાણી તથા‎બોર અને કૂવાના પાણીની મોટર ચાલતી હોય અને પાણી બહાર ઢોળાતું હોય‎તેવું પણ જોવા મળતું હોય છે. આ પાણીનો વેડફાટ અટકાવવો જોઇએ અને‎દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી જળનું રક્ષણ કરવું જોઇએ.‎‎

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:13 am

દાહોદવાસીઓએ જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું:4 કલાકમાં આકાશી મહેમાનો માટે 500થી વધુ પક્ષીઘર, ફીડરનું વિતરણ

સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે ત્યારે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે 22 માર્ચે વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી પક્ષી બચાવો અભિયાન ચલાવતું આ મંડળ આ વર્ષે પણ 20 વર્ષની જૂની પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. શહેરના ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે આયોજિત આ વિશેષ અભિયાનમાં રવિવારની રજા હોવા છતાં નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. રવિવારે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં બપોરના 1 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં પક્ષીઓ માટે ઉપયોગી એવી 500થી વધુ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અબોલ પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટીની તાસકોનું વિશેષ વિતરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાહોદના પર્યાવરણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડીને ચકલીઓના સંવર્ધન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત પક્ષીઓને સુરક્ષિત આશરો મળી રહે તે માટે લાકડાના મજબૂત માળા, પરંપરાગત માટીના માળા, આધુનિક બર્ડ ફીડર અને કુદરતી અનુભવ કરાવતા કાથીના વિવિધ આકારના માળાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મંડળના સભ્યો દ્વારા ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી અને નગરજનોને પક્ષીઓના સંરક્ષણ અંગે જાગૃત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:08 am

આદિવાસી પરીવારોમાં ખુશીનો માહોલ:જાંબુઘોડા તા.ના જંગલમાં મહુડાના ફૂલની સીઝન શરૂ

પંચમહાલ જિલ્લા સહિત જાંબુઘોડા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી પરિવાર માટે આશીર્વાદ ગ્રુપ ગણાતા મહુડાના વૃક્ષ મહુડાના ફૂલ લાગવામાં ચાલુ થતા આદિવાસી પરિવારોમાં આનંદનો માહોલ છવાયો. મહુડાના ફૂલ આખા વર્ષની રોજી આપે છે. હાલ મહુડાના વૃક્ષો ઉપરથી મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મહુડાના ફૂલનો ભાવ ગઈ સાલ એક ક્વિન્ટલના 5200થી 5400 રૂા.ભાવ હતો. હાલમાં નવો ભાવ બજારમાં નક્કી નહીં થતા પરિવારો મહુડાને ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે. મહુડાના વૃક્ષને આદિવાસીઓનો કમાઉ દીકરો તરીકે ઓળખવામાં આવે છે. આ મહુડાના ફૂલ ઔષધીઓ, દેશી દવામાં તેમજ દારૂમાં પણ વપરાય છે. અહીના આદિવાસીઓ મહુડાની ડોળીને પીલીને તેલ બનાવે છે. જે આખું વર્ષ ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેમજ આ તેલ માલિશ કરવામાં, સાબુ તેમજ શેમ્પુ બનાવવામાં ઉપયોગ થાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:07 am

ખાડારાજને લીધે લોકો પરેશાન:મુવાલીયા ક્રોસિંગથી હાઈવેનો માર્ગ બિસમાર થતાં ચાલકોના માથે જોખમ

દાહોદના ગોધરા રોડ પર આવેલા મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય મહિનાઓથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહત્વના માર્ગની જર્જરિત હાલતને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. ગોધરા રોડ પર મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો આ રસ્તો લાંબા સમયથી મરામતની રાહ જોઈ રહ્યો છે. રસ્તા પર અનેક સ્થળોએ એટલા ઊંડા ખાડા પડી ગયા છે કે વાહનચાલકોએ અત્યંત સાવધાનીપૂર્વક અને ધીમી ગતિએ પસાર થવું પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. નોંધનિય છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આ રસ્તો સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે કડીરૂપ છે. વધુમાં, આ જ માર્ગ પર આણંદ કૃષિ યુનિ. ફાર્મ આવેલું હોવાથી અહીં શૈક્ષણિક અને ખેતીવાડીના કામકાજ અર્થે રોજિંદી અવરજવર રહે છે. આમ છતાં, રસ્તાની આ દયનીય સ્થિતિ પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોના ટાયર, સસ્પેન્શન અને અન્ય ભાગોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેના કારણે લોકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ રસ્તા બાજુ ધ્યાન દોરવામાં આવતુ નથી અને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે અને જનતા દ્વારા આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:06 am

મંડે પોઝિટીવ:મહુડો માત્ર વૃક્ષ નથી પણ સંસ્કૃતિ ને અર્થતંત્રનો અભિન્ન હિસ્સો છે

દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના પહાડી અને જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ ગણાતા મહુડાના વૃક્ષો અત્યારે સોના જેવી આવક વરસાવી રહ્યા છે. વસંતની વિદાય અને ઉનાળાના પગરવ સાથે જ આ પંથકમાં મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ગઈ છે, જેની સાથે જ ગ્રામીણ જનજીવનમાં એક નવો ઉત્સાહ અને આર્થિક તેજીનો સંચાર થયો છે. અત્યારે વહેલી સવારના ચાર વાગ્યાથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઇ તેમના હાથમાં ટોપલા અને પોટલાં લઈને સીમ-વગડા તરફ દોડી જાય છે. આખાય પરિવારો મહુડાના ફૂલ વીણવાની કામગીરીમાં મગ્ન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકો માટે મહુડો એ માત્ર વનસ્પતિ નથી પરંતુ ગરીબ પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરતું સાચું ''કલ્પવૃક્ષ'' છે. સીઝન દરમિયાન એકઠા કરેલા આ ફૂલ ગામડાના અર્થતંત્રને મજબૂત બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં આવતા લગ્ન પ્રસંગો, ચાંદલા વિધિ કે અન્ય મોટા સામાજિક ખર્ચાઓને પહોંચી વળવા માટે મહુડાના ફૂલનું વેચાણ એ સ્થાનિકો માટે સૌથી મોટો આશીર્વાદ સાબિત થઇ રહ્યો છે. આમ, દેવગઢબારીયા અને ધાનપુર પંથકમાં મહુડાની આ સીઝન સ્થાનિકોના ચહેરા પર સ્મિત અને ખિસ્સામાં રોકડ લાવીને સકારાત્મક વાતાવરણ ઊભું કરી રહી છે. સમૃદ્ધિનું માપદંડ હતું આ વૃક્ષ20મી સદીમાં જે પરિવાર પાસે વધુ મહુડાના વૃક્ષો હોય તે સૌથી વધુ સુખી અને સમૃદ્ધ ગણાતો હતો. નવાઈની વાત એ છે કે લગ્ન નક્કી કરતી વખતે વર પક્ષ પાસે કેટલા મહુડાના ઝાડ છે તેની ગણતરી કરાતી હતી. જેથી કન્યા સુખી રહેશે તેવો વિશ્વાસ રખાતો હતો. આજે પણ લગ્ન પ્રસંગ કે સામાજિક ખર્ચાઓ માટે મહુડાનું વેચાણ એ પૂરક આવકનો મોટો સ્ત્રોત છે. મહુડાની ફૂલથી ફળ સુધીની સફર‎‎મહુડાના ફૂલને શેકીને પણ ખાઈ શકાય છે.‎‎જે પરંપરાગત ખોરાકનો ભાગ રહ્યો‎છે.ફૂલની સીઝન પૂર્ણ થયાના આશરે દોઢ મહિના પછી વૃક્ષ પર ફળ બેસે છે.‎જેને સ્થાનિકો ‘ડોળી’ તરીકે ઓળખે છે. ડોળીને સૂકવ્યા બાદ ઘાણીમાં પીલીને‎તેમાંથી તેલ કાઢે છે. પ્રાચીન સમયમાં લોકો આ તેલનો જ રસોઈમાં ઉપયોગ‎કરતા હતા અને આખું વર્ષ ખાદ્યતેલ માટે આત્મનિર્ભર રહેતા હતા.‎

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:02 am

ધારાસભ્યએ બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું‎:વાગરા-દહેજથી અમદાવાદ જવું સરળ, ભરૂચ એસટીને બસની ભેટ

મુસાફરોની સુખાકારી અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગ હેઠળના ડેપોને નવીનતમ બસોની ભેટ મળી છે. ભરૂચ વિભાગ દ્વારા સંચાલિત વાગરા-અમદાવાદ અને દહેજ-અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવેલી અત્યાધુનિક બસોનો ઉદઘાટન સમારંભ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ લોકાર્પણ વિધિમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા માજી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ભરૂચ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી સંજય જોષી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીગણ તેમજ મુસાફર જનતા પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને મુસાફર સુવિધામાં થઈ રહેલા વધારા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. વાગરા અને દહેજ જેવા મહત્વના ઔદ્યોગિક હબથી સીધા રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સુધીની આ નવીન બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:00 am

ફરાર આરોપી પકડાયો:ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 વર્ષથી ફરાર આરોપીને તાપીમાંથી ઝડપ્યો

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને તાપી જિલ્લાના કુકરમુંડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ટીમ રચાઈ હતી. તપાસ દરમિયાન શાકીર યાસીન ઉર્ફે શરીફ ઉર્ફે સફીક ઇસ્માઈલ રહે. કુકરમુંડા, તાપી છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ નામથી ફરાર હોવાની માહિતી મળી હતી. વર્ષ 2011માં ઝાડેશ્વર ચોકડી પાસે પ્રોહીબિશન વોચ દરમિયાન ડુપ્લીકેટ નંબર પ્લેટવાળા આયસર ટેમ્પામાંથી આશરે રૂ. 9.60 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસમાં વાહનનો નંબર ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ બે આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય આરોપી ફરાર રહ્યો હતો. તાજેતરમાં બાતમીના આધારે પરિવારના સોશિયલ ડેટા એનાલિસિસ થી આરોપીની લોકેશન મળી આવતા પોલીસે ચાર દિવસની વોચ બાદ તેને ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:59 am

નવીન માર્ગ બનવાની શરૂઆત કરાઈ:કવાંટથી આંબાડુંગરનો માર્ગ 10‎કરોડના ખર્ચે નવીન બનાવાશે‎

કવાંટ તાલુકાના પ્રજાજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કવાંટથી આંબાડુંગરને જોડતો મુખ્ય માર્ગ, જે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં હતો. તેના નવીનીકરણની કામગીરીનો રવિવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા અંદાજે રૂ.10 કરોડના માતબર ખર્ચે આ રસ્તો મંજૂર કરાતાં સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે સરકારી કામોમાં ગુણવત્તાને લઇને પ્રશ્નો ઉઠતા હોય છે. પરંતુ આ માર્ગની વિશેષતા એ રહી કે કામગીરીના પ્રથમ દિવસે જ વિભાગના અધિક મદદનીશ ઇજનેર તેરસિંગભાઇ રાઠવા પોતે સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટર અને મજૂરોને રસ્તાની કામગીરી યોગ્ય ટેકનિકલ ધોરણો મુજબ થાય તે માટે જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતા. વર્ષોથી ખાડા અને ધૂળની ડમરીઓથી પરેશાન વાહનચાલકો અને મુસાફરો માટે આ માર્ગ આશીર્વાદરૂપ સાબિત થશે. અધિકારી દ્વારા લેવાયેલી વ્યક્તિગત કાળજીને પ્રજાએ આવકારી છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ ખરેખર કેટલો સમય ટકી રહે છે અને અધિકારીનો વિશ્વાસ કેટલો ખરો ઉતરે છે. આ સાથે અધિક મદદનીશ ઇજનેર તેરસિંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, આ માર્ગ અત્યંત મજબૂત બનશે અને આગામી પાંચ વર્ષ સુધી આ રસ્તાને કંઇ જ નહીં થાય તેની ગેરંટી હું લઉં છું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:57 am

બાર કાઉન્સીલની ચુંટણીનું પરિણામ:ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના વંદના ભટ્ટ વિજેતા

ગુજરાત બાર કાઉન્સિલની તાજેતર માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાટે ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયારે પરિણામ આવ્યા ત્યારે નર્મદા જિલ્લાના બાર એસોસિયેશન પ્રમુખ વંદના ભટ્ટ ને 2,03,002 જેટલા મતો મળ્યા વિજેતા બન્યા અને આ પ્રક્રિયામાં અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા રાજ્યના વકીલોમાં પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન આઈ. ભટ્ટની ભવ્ય જીત બદલ બાર એસોસિયેશન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 25 વર્ષ બાદ ભરૂચ–નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ વકીલ ગુજરાત બાર કાઈન્સીલ ની ચૂંટણી જીતી રાજ્યની ટીમમાં પહોંચ્યા છે. કેમ કે જિલ્લાના નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીનો આ અનોખો અને પ્રથમ વિજય છે.વંદનાબેન આઈ. ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:55 am

સાંસદે ટ્રેકિંગ કરી વિશ્વ વન દિવસ ઉજવ્યો‎:વન-પર્યાવરણ સાથે વન્યજીવ તથા પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા સાંસદનું આહવાન

21મી માર્ચે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ વન દિવસની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ વન દિવસ ઉજવાયો હતો. જેમાં સાંસદ જશુભાઇ રાઠવાએ વન કર્મીઓ સાથે રવિવારે વહેલી સવારે જંગલમાં ટ્રેકિંગ કરીને જંગલ અને પર્યાવરણ બચાવવા પ્રજાને અપીલ કરી હતી. તેમણે વન ખાતાના અધિકારી અને વનકર્મીઓ સાથે જંગલમાં ટ્રેકિંગ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તા.21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી પ્રસંગે રવિવારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવાએ જયસિંહ રાઠવા સંગ્રામસિંહ, રાઠવા પાર્થભાઇ સાથે છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રેન્જના જાંમલી ડેમ ખાતે વહેલી સવારે જંગલમાં ટ્રેકિંગ કરી, વન અને પર્યાવરણ સાથે વન્યજીવ અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું. સાથે જ વન વિભાગના કર્મચારી અધિકારી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર વિસ્તારમાં વિશાળ જંગલ આવેલું છે. આ જંગલોમાં ઘણી ઔષધિઓ ઊગી નીકળે છે. જે માનવ જીવન માટે દવા સ્વરૂપે વપરાય છે. આ જંગલોની જાળવણી કરવી દરેક વ્યક્તિની ફરજ હોય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:54 am

ટ્રાન્સપોર્ટરોએ દેખાવો કર્યા:ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર સ્થાનિક‎ટ્રકો પાસે ટોલ વસૂલવાને લઇ આંદોલન‎

ભરૂચના મુલદ ટોલપ્લાઝા પરથી સ્થાનિક ટ્રક ચાલકો પાસેથી રોજના રૂા.50નો ટોલ લેવાનું ફરમાન બહાર પાડવામાં આવતાં રવિવારના રોજ ટ્રાન્સપોર્ટરોએ ટોલપ્લાઝા ખાતે પહોંચીને દેખાવો કર્યા હતાં. ટોલનાકાની એજન્સી બદલાયા બાદથી સ્થાનિક ટ્રકોને પણ ટોલમાંથી મુકિત નહિ આપવાનો નિર્ણય લેવાતાં ફરીથી વિવાદના એંધાણ વર્તાઇ રહયાં છે. હાલ તો ટ્રાન્સપોર્ટરોએ સાંસદ દીલ્હીમાં હોવાથી તેમને રજૂઆત કરવાની હોવાથી બે દિવસની મહેતલ માંગી છે. ટ્રાન્સપોર્ટરોની માગણીને ગ્રાહ્ય રાખી એજન્સીએ બે દિવસ સુધી સ્થાનિક ( જીજે-16 પાર્સિંગ)ની ટ્રકોને ટોલમાંથી મુકિત આપી છે. ભરૂચ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસી એશનના અગ્રણી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ટોલનાકાની 20 કિમીની ત્રિજ્યામાં આવતાં વિસ્તારોના વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવે છે. મુલદ ટોલપ્લાઝા ખાતે નવી એજન્સી આવ્યાં બાદ ટોલ લેવાની વાત કરે છે. એક ટ્રકના 3 થી 4 હજારનો ટોલ પોસાઇ તેમ નથી. આ મામલે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવાના છીએ. દોઢ વર્ષમાં ફરી સ્થાનિક વાહનો પાસેથી‎ ટોલનો વિવાદ સામે આવ્યો‎ ભરૂચના મુલદ ટોલપ્લાઝા ખાતેથી 4 થી 5 હજાર જેટલી સ્થાનિક ટ્રકો પસાર થતી હોય છે. દોઢ વર્ષ પહેલાં સ્થાનિક ટ્રકોને ટોલમાંથી મુકિત આપવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક જનપ્રતિનિધિઓની રજૂઆત બાદ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી હતી પણ હવે એજન્સી બદલાઇ જતાં ફરીથી ટોલનો વિવાદ થયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:53 am

વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ સંરક્ષણમાં મોટી પહેલ:16 તળાવના નવીનીકરણથી પાણી સંગ્રહ ક્ષમતા વધીને 3.27 લાખ કિલોલિટર થઇ

નર્મદા જિલ્લામાં 20 જળ સંગ્રહ માળખાંના નિર્માણ અને પુનઃસ્થાપનનું કાર્ય કર્યું છે. જેમાં 16 તળાવોમાંથી 12 નું પુનર્જીવન કરવામાં આવ્યું છે તેમજ 4 નવા તળાવો બનાવવામાં આવ્યા છે 4 નાના બંધોમાંથી 2 નવા બંધ બનાવવામાં આવ્યા છે અને 2 બંધનું સમારકામ કરવામાં આવ્યું છે.આ કામગીરીથી ચાલુ મહિનાના અંત સુધીમાં અંદાજે 3.27 લાખથી વધુ કિલો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી થવાની શક્યતા છે. નર્મદા જીલ્લામાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આગાખાન ગ્રામ આધાર કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે કરવામાં આવેલા પ્રયાસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ કુલ 20 જળ સંગ્રહ માળખાંના નિર્માણ અને પુનઃસ્થાપનનું કાર્ય કર્યું છે. જેમાં લક્ષ્યાંકિત 16 તળાવોમાંથી 12 તળાવોનું પુનર્જીવન કરવામાં આવ્યું છે. તેમજ 4 નવા તળાવો બનાવવામાં આવ્યા છે. સાથે 4 નાના બંધોમાંથી 2 નવા બંધ બનાવવામાં આવ્યા છે અને 2 બંધનું સમારકામ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી ચાલુ મહિનાના અંત સુધીમાં અંદાજે 3.27 લાખથી વધુ કિલો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી થવાની શક્યતા છે. ઉલેખનીય છે કે, ગયા ચોમાસા પહેલાં પૂર્ણ થયેલા 6 તળાવો અને નાના બંધોના કારણે 1.41 લાખથી વધુ કિલોલિટર પાણી સંગ્રહ થતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળ્યું હતું.આ યોજનાઓથી આશરે 400 લોકોને સીધો લાભ મળશે જ્યારે 100 થી વધુ બોરવેલ રિચાર્જ થવાથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થશે. સમગ્ર કામગીરીમાં ગ્રામ પંચાયતોનો સહયોગ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:52 am

ગામ ગામની વાત:મોરબીના લાલપરનું ઇન્સ્ટ્રિયલ ડેવલપિંગ તો થયું, પણ પર્યાવરણનું જતન વિસરાયું‎

મોરબીના લોહીમાં જ સાહસિકતા હોવાથી વર્ષોથી અહીંના ખાંતિલા લોકોએ પેઢી દર પેઢી આપબળે કઠોર પરિશ્રમથી ઉધોગ અને વેપાર ધંધાને એવી રીતે વિકસાવ્યા કે મોરબીનો વિકાસનો દેશ નહિ વિશ્વસ્તરે પહોંચ્યો છે. પણ ઉધોગોની વિકાસની સાથે પાછલા દરવાજે પ્રદુષણ પણ પ્રવેશી ગયું છે. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર મોરબીથી માત્ર સાતેક કિમિના અંતરે આવેલા લાલપર ગામ અને આસપાસ સીરામીક, ટ્રેડિંગ, ફ્રેબીકેશન, બ્રાસ પાર્ટ સહિતના નાના મોટા આશરે 200 જેટલા કારખાનાઓ રાત દિવસ ધમધમી રહ્યા છે. આ ગામની આસપાસ સૌથી વધુ કારખાનાઓ હોવાથી લાલપર ગામની 1995 પછીથી ધીરેધીરે ઇન્સ્ટ્રીયલ વિસ્તાર તરીકે ઓળખ થવા લાગી છે. જો કે ગામની જમીન પથરાઉ હોય ફળદ્રુપ ન હોવાથી ખેતીમાં ધારી ઉપજ મળતી ન હતી. એટલે ગામલોકો ઉધોગો તરફ વળ્યા, જેમાં વર્ષોથી લાલપર ગામ સીમતળ અને આસપાસના વિસ્તારમાં નળીયાના કારખાના વધુ હતા. પણ ઇમારતો વધતા અને ધીરેધીરે શહેર સિમેન્ટ કોક્રેટનું જંગલ બની જતા નળીયાની ડિમાન્ડ ઘટતા સાથેસાથે 1995થી સીરામીકનો ઉદય થતા જ લાલપર ગામની સુરત જ એકદમ બદલાઈ ગઈ અને જોતજોતામાં 80 ટકા જેવી ખેતીની જમીનને બિનખેતી કરાવી કારખાનાઓ બનાવી દેવાયા હતા. હવે આશરે દસ જેટલા લોકો ખેતી કરે છે. આશરે 5 હજાર જેટલી વસ્તીમાં મોટાભાગના લોકો ઉધોગો સાથે જોડાયેલા છે. લોકો અને ગામ તો આર્થિક રીતે સુખી સંપન્ન થયું પણ ઉધોગોના વિકાસની સાથેસાથે પ્રદુષણની આવેલી આડઅસરોથી ગામેં પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. શિક્ષણ, આરોગ્ય, રોડથી લઈ CCTV સુધીની સુવિધા‎સરપંચ રમેશભાઈ રતનભાઈ વાંસદડીયા કહે છે કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર, ધો.8 સુધીની સરકારી શાળા, ધો.10 સુધીની બે ખાનગી શાળામાં ભણતા 1 હજાર વિધાર્થીઓ, નવી સોસાયટીમાં પેવર બ્લોક અને સીસીરોડ, સીસીટીવી, પાણીના કનેક્શન, બે લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો ટાંકો, બે ટ્રેકટર, રીક્ષા સહિતના નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન, પીવીસીની લાઇન નાખી અને વાલ્વનું કામ ચાલુ છે. પર્યાવરણના જતન માટે‎સરકારની ગ્રાન્ટની અપેક્ષા‎સરપંચ ઉમેરે છે કે, ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી ગામના સ્મશાનને સુંદર ઉપવન જેવું બનાવ્યું છે. આજ રીતે ગામની શાળાનું પણ રીનોવેશન કરવામાં આવ્યું હતું. જો કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરીકે ડેવલપ થયો હોય એટલે પર્યાવરણનું સંતુલન બગડે અને જમીન ફળદ્રુપ ન હોવાથી લીલીછમ હરિયાળી પણ થઈ શકતી નથી. એટલે બહુ જ ઓછા વૃક્ષપ છે. આમ છતાં સરકાર તરફથી ખાસ ગ્રાન્ટ મળે તો એક સારો મોટો બગીચો બનાવી શકાય અને ગામની આસપાસ વૃક્ષો પણ વાવી શકાય જેથી ગામમાં પ્રદુષણ સામે પર્યાવરણનું બેલેન્સ જળવાઈ રહે એમ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:46 am

પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુથી વર્કશોપ યોજાયો:મોરબીમાં દરિયાકાંઠા સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો

મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી મેન્ગ્રુવ (ચેર) ના જંગલોનું મહત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક ''વિશિષ્ટ વનસ્પતિ'' ગણાવતા જણાવ્યું હતું કે, ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ સમાન છે. તેમણે ભારત સરકારના મહત્વાકાંક્ષી ''મિસ્ટી'' (MISHTI - Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. આ અવસરે વૈદ્ય કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસર ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. આ નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને આકર્ષક શૈલીમાં મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે ‘આપણે પ્રકૃતિને શું આપી શકીએ’ તે દિશામાં લક્ષ્ય સાથે કાર્ય કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપ માટે ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષક વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષક નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં વસતા ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:43 am

પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ:મોરબી શહેરમાં પૌષ્ટિક આહાર અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ માટે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટનો પ્રારંભ

મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. જીવનમાં સ્વસ્થ રહેવા સાત્વિક આહાર અનિવાર્ય છે. જેમ આપણો ‘ફેમિલી ડોક્ટર’ હોય છે, તેમ શુદ્ધ અને રસાયણમુક્ત આહાર માટે દરેક નાગરિકે એક ‘ફેમિલી ફાર્મર’ રાખવો જોઈએ, જે આપણને સીધો ખેતરેથી શુદ્ધ ખેત ઉત્પાદનો પૂરો પાડી શકે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ કર્યું હતું. આભારવિધિ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીયાએ કરી હતી. મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સ્થિતિ મિલેટ્સમાંથી સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના નગરજનોને આ બે દિવસીય મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:42 am

યુદ્ધની અસર:મોરબીના અગરબત્તી ઉદ્યોગ પર હવે યુદ્ધની અસર, 1લીએ 20 ટકા ભાવ વધશે

બે દેશો વચ્ચેના યુદ્ધની ઉધોગ જગત પર વ્યાપક અસર પડી છે. ખાસ કરીને ઉધોગનગરી ગણાતા મોરબીના એક પછી એક ઉધોગ આ યુદ્ધની અસરની લપેટમાં આવી ગયા છે. જેમાં વિશ્વ સ્તરે પહોંચેલો મોરબીનો સીરામીક ઉધોગ શટડાઉન, પેકેજીગ ઉધોગ, પેપરમિલ, ટ્રાન્સપોર્ટેશન સહિતના ઉધોગોને માર પડ્યા બાદ ઘર, દુકાન, ઓફીસ સહિતના સ્થળે દેવી દેવતાની પૂજા અર્ચના માટેની આગરબત્તીની સુંગધ હવે યુદ્ધની અસરથી મુરજાય જાય તેવી સ્થિતિ સામે આવી છે. મોરબી જિલ્લા અગરબત્તી ઉધોગ એસોસિએશનના પ્રમુખ ધ્યેયભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, યુદ્ધની અસરથી ઘણા ઉધોગો બંધ થયા હોય ત્યારે અગરબત્તી ઉધોગ કેમ બાકાત રહે ? અગરબત્તી ઉધોગને પણ યુદ્ધની અસર પડી છે. કારણ કે ક્રૂડ ઓઇલની મોટી અછત સર્જાઈ છે. અગરબત્તીમાં વપરાતા કાચા માલની ભારે શૉટ્રેજ છે. અગરબત્તીનો મુખ્ય આધાર ક્રૂડ ઓઇલ છે. પરફ્યુમ, કંમ્પાઉન્ડ, કપૂર, ગુગળ, વાસ,પ્લાસ્ટિક બોક્સ સહિતનો રો મટિરિયલની આયાત થતી હોય હાલ ક્રૂડ ઓઇલની અછતથી જિલ્લાના અગરબત્તીના 18 યુનિટો અને 400 વર્કરોની રોજીરોટી સંકટમાં છે અને ક્રૂડના લેવલથી ભાવ વધતા યુનિટ બંધ નહિ થાય પણ કુર્ડના ભાવ વધતા આગામી 1 એપ્રિલથી અગરબત્તીના ભાવમાં 20 ટકા જેવો તોતીંગ ભાવવધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:41 am

રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ:મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો‎અટકાવવા મહાપાલિકાની સઘન ઝુંબેશ‎

મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તેવા હેતુથી મોરબી મહાપાલિકાની મેલેરીયા શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેલેરીયા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેમાં અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક અને વાઘપરા જેવા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન પાણી ભરેલા પાત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી કરવામાં આવી. એવન્યુ પાર્ક, દાઉદીપ્લોટ અને કબીરટેકરી પાસેના વોકળાઓમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ સરળ પગલાં અપનાવો

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:41 am

પ્રજાના પૈસાનો ધુમાડો:મોરબીમાં દિવસે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂપિયા 16.33 કરોડનો બોજો

કોના બાપની દિવાળી ? ની જેમ સીરામીક સીટી મોરબીમાં નગરપાલિકાના વખતથી પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તંત્ર જ લોકોને વીજ બચત કરવાની સુફોયાણી સલાહ આપે છે. દિવા તળે અંધારાની જેમ ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું ભુલ્યું છે. પહેલા નગરપાલિકા અને હવે મહાપાલિકાની બેદરકારીને કારણે પ્રજા માથે કરોડોનો વીજ બીલનો બોજો આવ્યો છે. આશરે દોઢ દાયકા અગાઉ પહેલા જ નગરપાલિકાની શહેરમાં શેરી, ગલી, વિસ્તારમાં મોટી સ્ટ્રીટ લાઈટ હતી. તેનાથી વધુ વીજ ખાદ્ય થતી હતી. આથી આ મરક્યુરી લાઈટ કરતા એલઇડી લાઈટો ઓછી વીજળી ખાતી હોવાથી વીજ બચત માટે આખા શહેરમાં તમામ જાહેર વિજપોલમાં નવી કરોડોના ખર્ચે સ્ટ્રીટ લાઈટોને કાઢી એલઇડી લાઈટો નાખવામાં આવી હતી. પણ જે તે વખતે તંત્ર લાઈટ ચાલુ બંધ કરવાની સિસ્ટમ એટલે ટાઇમર સેટ કરવાનું ભૂલી ગયું હતું. પરિણામે મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક આ એલઇડી લાઈટો ચાલુ રહે છે. ધોળા દહાડે વર્ષોથી લાઈટના ઝળહળા થતા હોવા છતાં તંત્રના આખે જાણે મોતિયો આવી ગયો હોય એમ આ લાઈટો દિવસે બંધ કરવાની નગરપાલિકા બાદ હવે મનપાએ પણ જરાય તસ્દી લીધી નથી. 24 કલાક લાઈટો ચાલુ રહેતા વીજળીનો અપવ્યય થતા હમણાં જ પીજીવીસીએલે મનપાને વર્ષોનું બાકી રૂ.16.33 કરોડની માતબર રકમનું વીજ બિલ ફટકાર્યું હતું. વીજ જોડાણ કટ થાય એ પહેલાં જ મનપાએ આ નગરપાલિકા વખતનું બાકી કરોડોનું વિજબીલ ભરી દીધું હતું. આ વીજ બિલ ભરીને તંત્રએ મોટું મીર માર્યું એવું દેખાવડાનો હીન પ્રયાસ કર્યો છે. હકીકતમાં હજુ પણ પ્રજાના પૈસાનો ધુમાડો નહિ રોકાઈ તો આના કરતાં પણ પ્રજા પર મોટો વીજ બીલનો બોજો આવશે. મહેન્દ્રનગરથી રવાપર સુધી અંધારપટ,‎સ્ટ્રીટ લાઈટોની અછતથી લોકો પરેશાન‎મોરબી મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્તારોમાં અંધારપટ છે. જેમાં‎મોરબી મહાનગરપ લિકામાં ભળેલા નવા વિસ્તારો જેવા કે મહેન્દ્રનગર,‎ઇન્દિરાનગર, માળિયા વનાળિયા, શનાળા, વાવડી અને રવાપરમાં સ્ટ્રીટ‎લાઈટની ગંભીર સમસ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી નવી એલઇડી‎લાઈટ નાખવામાં જ આવી નથી. જ્યાં લાઈટો છે ત્યાં મોટાભાગની બંધ‎હાલતમાં છે. અંધારાને કારણે રાત્રે અકસ્માત અને સુરક્ષાનો ભય રહે છે.‎બહેન દિકરીઓ ને રાત્રીનાં સમય માં નિકળવા પર ડર લાગે છે. તેમ‎શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.‎ જ્યાં જરૂર ત્યાં લાઈટ નથી, ચાલુ લાઈટોના મુદ્દે‎અધિકારીઓની જવાબદારી પર સવાલ‎જાગૃત નાગરિક રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે, શહેરના મોટાભાગના‎વિસ્તારોમાં દિવસે પણ વર્ષોથી લાઈટો ચાલુ રહે છે. આ ખુલ્લેઆમ‎લોકોને દેખાતું હોવા છતાં તંત્રને ન દેખાય એ બાબત ગળે ઉતરે એવી‎નથી. જ્યારે શનાળા રોડ અને વાવડી રોડ પર લાઈટોની જરૂર હોય ત્યાં‎આ સુવિધા નથી. ત્યારે હવે મનપા તંત્રએ જે બાકી વીજ બિલ ભર્યું છે. એ‎પોતાના કે સરકારના ખિસ્સામાંથી ભર્યું નથી. એ પ્રજાના કરવેરામાંથી‎ચૂકવાયું છે. એટલે પ્રજાના પૈસાનો ખોટો વ્યય ન થાય એની ખાસ તકેદારી‎રાખવાની મનપાના જવાબદાર અધિકારીઓની જવાબદારી છે. પણ જે‎રીતે વર્ષોથી દિવસે લાઈટો ચાલુ રહે છે. એ જોતાં નગરપાલિકા બાદ હવે‎મનપાના અધિકારીઓ પણ જવાબદારી ચુક્યા હોય એવું લાગી રહ્યું છે.‎

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:40 am

મંડે પોઝિટીવ:માળિયા મિયાણાના નાનાભેલામાં માત્ર 200ની વસ્તી સામે 1 હજારથી વધુ મોરનો ‘મીઠો કલરવ’

મોરબી શહેર રાજાશાહી વખતથી ઢેલડીનગર તરીકે જાણીતું છે. તેનું કારણ એ હતું કે મોરબી આસપાસ ગાઢ વૃક્ષોનું જંગલ હતું એમાં મોરની સૌથી વધુ વસાહત હતી. પરંતુ 1991 બાદ મોરબીનો એટલો જબરજસ્ત વિકાસ થયો કે આજે મોરબી સિમેન્ટ કોક્રેટનું જંગલ બની જતા હવે મોરની વસ્તી એટલી હદે ઘટી ગઈ છે કે, અમુક જગ્યાએ જ મોર જોવા મળે છે. ત્યારે હૃદય મનને ટાઢક મળે તેમ રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરની વધુ સંખ્યા મોરબી જિલ્લાના એક છેવાડાના ગામમાં વધુ હોવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનું નાનું એવું નાનાભેલા ગામ ભલે છેવાડાનું અને અવિકસિત ગણાતું હોય પણ રાષ્ટ્રીય પક્ષી મોરની વધુ સંખ્યાને લીધે આ ગામ સુખી છે. એટલે જ આ નાનાભેલા ગામ મોરબી જિલ્લામાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં જાણીતું બન્યું છે. ગ્રામજનોના કહેવા મુજબ તેમના પૂર્વજોના સમયથી તેમના ગામમાં લોકો કરતા મોરની સંખ્યા વધુ છે. ચોંકાવનારી બાબત એ છે કે આજની તારીખે પણ ગામની વસ્તી માત્ર 200ની આસપાસ જ છે. એની સામે આશરે 1 હજારથી 1200 જેટલા મોરનો વસવાટ છે. એટલું જ નહીં મોરની સાથે કાગડા, કબૂતર, પોપટ, હોલા સહિતના પક્ષીઓ પણ છે. ગામમાં આશરે 1 હાજરથી વધુ વૃક્ષો હોવાથી આ બધા પક્ષીઓનું રહેઠાણ અનુકૂળ રહે છે. તેમજ બીજા હજાર વૃક્ષો હમણાં જ વાવ્યા છે. ગામલોકોએ ત્રણ સ્થળે ચકલાઘર બનાવીને નિયમિત ચણ નાખે છે. જો કે મોર એટલું ગભરુ પક્ષી હોય છે કે માણસનો પગરવ સાંભળે કે તૂરત જ ઉડી જાય છે. પણ આ ગામમાં મોર અને ગ્રામજનો વચ્ચે એટલો આત્મીય સંબંધ બંધાય ગયો છે કે,મોર લોકોના ઘરમાં અને ફળિયામાં જઈ લોકોના હાથમાં રાખેલા અન્નના દાણા એકદમ ભયમુક્ત બનીને ચણે છે. એટલું જ નહીં આ ગામની સવાર કુકડાની બાંગથી નહિ પણ મોરના મીઠા મધુર કલરવ અને ગહેકાથી પડે છે. ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવા સહિતની સેવાપ્રવૃત્તિઓગામના સરપંચ ભાવિકભાઈ કાવર કહે છે કે, તેમનું ગામ પહેલેથી જ માનવ સેવા એજ સાચી પ્રભુસેવા સમજીને દરેક સેવાપ્રવૃતિઓમાં આગળ છે. જેમાં અગાઉ તેમન ગામના વડીલોના બજરંગ ગરબી મંડળ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. હવે આ સેવાનો દૌર ગામના તેમના સહિતના યુવાનોએ સંભાળી લીધો છે જેમાં છેલ્લા ચાર વર્ષથી પ્રસંગે ઢોલ ત્રાસા વગાડી તેમાંથી થતી આવકથી નિયમિત શ્વાન સહિતના પશુઓ માટે લાડુ બનાવીને ખવડાવે છે અને દરરોજ ત્રણ સ્થળે પક્ષીઓને ચણ નાખે છે. આ ઉપરાંત ગૌશાળાને દાન, મનો દિવ્યાંગ સંસ્થાને દાન તેમજ ગામના કોઈ ગરીબ વિદ્યાર્થીઓ હોય તો તેની સ્કૂલ ફી પણ ભરવામાં આવે છે અને ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:37 am

PGVCL એક્શન મોડમાં:બોટાદ PGVCL 24 માર્ચના મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ કરશે

પીજીવીસીએલ બોટાદ વર્તુળ કચેરી હેઠળની કચેરીઓ બોટાદ શહેર-1 અને 2, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, બરવાળા, રાણપુર, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા સહિતની ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગ્રાહકોએ વીજ બીલના બાકી નાણા સંબધિત વિસ્તારની વીજ કચેરી, કલેક્શન સેન્ટર અથવા તો ઓનલાઈન માધ્યમથી તાત્કાલિક ભરપાઈ કરી જવા વધુમાં પીજીવીસીએલ બોટાદ વર્તુળ કચેરી હેઠળની વિવિધ કચેરીઓ માહે ફેબ્રુઆરી-26ના અંતે હજુ પણ રૂ.1613.77 લાખ જેટલી માતબર રકમ બાકી છે. ચાલુ માસે પણ 24 માર્ચના પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. જો વીજ ગ્રાહકોએ વીજ બીલની રકમ બાકી હશે તો, આ દિવસે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ગ્રાહકોનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. ત્યારબાદ વીજ ગ્રાહકોએ બાકી વીજ બીલની 100 % રકમ રી-કનેક્શન ચાર્જ સાથે તેઓની સબંધિત કચેરી ખાતે ભરપાઈ થયા બાદ જ નિયત સમયમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. આમ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાય રહે તે માટે બાકી વીજ બીલ ભરપાઈ કરવા બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બોટાદ PGVCL 24 માર્ચના મેગા ડીસ-કનેક્શન ડ્રાઈવ કરશે તેમ સુત્રો જણાવે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:30 am

મંડે પોઝિટીવ:32 વર્ષથી અવિરત જનસેવા : 1 લાખથી વધુ વૃક્ષોનું વિતરણ અને મુક્તિધામમાં ઔષધીય ઉપવનનું નિર્માણ

ગુજરાતનું ગૌરવરૂપ સુંદર હરિયાળુ મુક્તિધામ (સ્મશાન) જે બોટાદના અઢારેય આલમ અને વિવિધ સંસ્થાના સહયોગથી નવનિર્માણ કાર્યના સ્વપ્નદ્રષ્ટા સી.એલ.ભીકડીયાના ભગીરથ પ્રયત્નથી સુપરે પૂર્ણ થયેલ છે. બોટાદમાં 18, અક્ષરપાર્ક ખાતે રહેતા અને એમ.એસ.સી. (કેમેસ્ટ્રી),ડીપ્લોમા ઈન જર્નાલીઝમ સી.એફ.એન. (ઓપન યુનિ.) સુધીનો અભ્યાસ ધરાવતા અને નિવૃત્ત, ફુડ સેફટી ઓફિસર ચંદુલાલ લાલજીભાઈ ભીકડીયા (સી.એલ.ભીકડીયા) મુક્તીધામ પરિસરમાં શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન, રાશિ વન તથા સુંદર હરિયાળો બગીચો બનાવી ખરેખર સ્મશાન ભૂમિને શાંતિનું ધામ બનાવેલ છે. છેલ્લા 18 વર્ષથી મુક્તિધામ પરિસરમાં શ્વાન માટે રોટલા તથા દર રવિવારે શ્વાન માટે લાડુ બનાવી વન વગડા સીમાડાના શ્વાનને નાખવામાં આવે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા જે જન સેવા અને અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમાં તેઓ સક્રીય ભૂમિકા ભજવી રહયા છે. તેઓ શહેર જીલ્લામાં વૃક્ષારોપણ અને પર્યાવરણનું ઉત્તમ કાર્ય કરતા ગ્રીન મેનનું બિરુદ અને બોટાદ જીલ્લા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ રાજ્યપાલ આનંદીબહેન પટેલના વરદ હસ્તે ગુજરાત ગ્લોબલ બ્રિગેડ સંસ્થા દ્વારા પ્રાપ્ત કરેલ. વનવિભાગ બોટાદના સહયોગથી શહેર અને જિલ્લામાં આશરે એક લાખ જેટલા રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. તેઓને વૃક્ષા રોપણ અને પર્યાવરણ જનજાગૃતિની ઉત્તમ કામગીરી સબબ ગ્રીન મેનનું બિરૂદ સાથે કચ્છ માંડવી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશિષ્ટ કામગીરી મુક્તિધામ સંકુલમાં આશરે 100 ઉપરાંત દિવ્ય ઔષધીય વૃક્ષ, વેલ, છોડ ઉછેર કરેલ છે, જેમાં લુપ્ત થતી દિવ્ય ઔષધીય વનસ્પતિઓ જેમાં ઉંમરો, બંગાળી બાવળ,કરંજ, વડ, વગેરે ઔષધીય વૃક્ષ, છોડ તથા વેલ વગેરેનો વનમાં ઉછેર કરેલ છે. રાશીવનમાં રાશી પ્રમાણે વાંસ, ખાખરો, બીલી, અર્જુન, સીમળો, સમી, આંબળો, સાલ, પીપળો, સફેદ આંકડો, કદંબ વગેરે વૃક્ષનું રોપણ કરી ઉછેર કરેલ છે. મુક્તિ ધામ સંકુલમાં આશરે 1200 ઉપરાંત વૃક્ષ, ફૂલછોડ, છોડ દ્વારા હરિયાળા બગીચાનું નિર્માણ કરેલ છે. અગ્નિ સંસ્કાર માટે ગેસ તથા આધુનિક ભઠ્ઠીનું નિર્માણ કરેલ છે. તેઓએ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદનાં સ્થાપક ઉપ પ્રમુખ અને રાજ્ય કક્ષાએ વિવિધ અન્ય હોદ્દા પર પદાધિકારી તરીકે સેવા બજાવેલ છે. વર્ષ 2022-23ના વર્ષ માટે જાયન્ટસ ફેડરેશન ઓફીસર (પર્યાવરણ) તરીકે નિમણુંક કરવામાં આવેલ.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:22 am

‘તાંત્રિક વિધિ’ના બહાને 16.28 લાખની છેતરપિંડી‎:મિત્રએ જ ભુવા સાથે મળી મિત્રની અંધશ્રદ્ધાનો લાભ લઇ મેલી વિદ્યાથી પરિવારને છેતર્યો, 3 સામે ફરિયાદ

બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹16,28,400ની છેતરપિંડી આચરી છે. આ મામલે રત્નકલાકારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે, બોટાદના મોચીપરા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સોમાભાઈ નાકીયાને નાગલપરના ઘનશ્યામભાઈ રૂપેલીયા સાથે 15 વર્ષ જૂની મિત્રતા હતી. સોમાભાઈને સપનામાં એક બાળકી આવી ધોલ મારી જતી હોવાનું જણાવતા, મિત્ર ઘનશ્યામ તેને સંજય ભુવા (રહે. નાગલપર) પાસે લઈ ગયો હતો. ભુવાએ સોમાભાઈના ઘરે પાઠ માંડી, મેલીવિદ્યાના તૂત ઉભા કરી આખા પરિવારને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ઓક્ટોબર 2023માં ઘનશ્યામભાઈએ મજબૂરી બતાવી સોમાભાઈ પાસેથી સોનાની હાંસડી, લોકીટ અને ચેઈન મળી લાખોના દાગીના પડાવ્યા હતા. માર્ચ 2024માં મકાન લોન કરાવી આપવાના બહાને અને અગાઉના દેવા ચૂકવવાના નામે કુલ ₹8 લાખ રોકડા પડાવી લીધા હતા. ઘનશ્યામ અને તેના પુત્ર અલ્પેશે વધુ 5.75 તોલા સોનું લઈ જઈ ફેડરલ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી લીધી હતી. થોડા સમય બાદ મેલીવિદ્યાની અસર ઓછી થતા સોમાભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. દાગીના અને રોકડની ઉઘરાણી કરતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આખરે, સોમાભાઈએ ઘનશ્યામ રૂપેલીયા, સંજય ભુવા અને અલ્પેશ રૂપેલીયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીનો ઘટના ક્રમ મિત્રને દુ:ખની વાત કરતાં ફાયદો ઉઠાવ્યો“મને રાત્રે આઠ વર્ષની એક છોકરી સપના આવી બે ધોલ મારી ગયેલ, જે છોકરી કોણ છે અને કેમ ધોલ મારી ગયેલ અને મને કંઇક નડતર જેવું લાગે છે, તે જોવડાવવાનું છે. જેથી આરોપી ઘનશ્યામભાઈ, ભુવાજી સંજયભાઈ બાબુભાઈ ચૌહાણના ઘરે લઈ ગયેલ અને કહેલ કે, સંજયભાઈ સારા ભુવા છે, તમારી બધી તકલીફ દુર કરી નાખશે. આમ ફરિયાદી પતિ-પત્નિનો ફાયદો ઉઠાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:19 am

આહિરપટ્ટીમાં વરસાદનો કહેર:ઘઉં, જીરું અને કેસર કેરીને નુકસાન પહોંચ્યું

કચ્છ જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. ખાસ કરીને ભુજ તાલુકાના આહિરપટ્ટી ગણાતા પંથકમાં ગાજવીજ સાથે પડેલા માવઠાએ તૈયાર થયેલા મોલ પર પાણી ફેરવી દીધું છે. ભુજ તાલુકાના કુકમા, પધ્ધર સહિત વિસ્તારમાં માવઠું વરસ્યું હતું. રવી પાકની કાપણી સમયે જ કુદરતી આફત વરસતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આહિરપટ્ટીના ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદને કારણે ખેતરોમાં પડેલો ઘઉં અને જીરુંનો પાક પલળી ગયો છે. જીરું જેવો સંવેદનશીલ પાક, જે અત્યારે તૈયાર અવસ્થામાં હતો, તેમાં કાળી મસી અને સડાની ભીતિ સેવાઈ રહી છે. કિસાન સંઘના અગ્રણી રવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પાકને મોટું નુકસાન થયું છે તો શાકભાજીમાં ફૂગ થઈ જશે. ફળોના રાજા ‘કેરી’ને ફટકોમાત્ર અનાજ જ નહીં, પરંતુ આ વિસ્તારની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓમાં પણ ભારે નુકસાનના અહેવાલ છે. આ સમયે આંબા પર આવેલા મોર (ફૂલ) અને કેરીઓ અચાનક પવન અને વરસાદને કારણે ખરી પડી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મતે, આ માવઠાને કારણે કેરીના ઉત્પાદનમાં આ વર્ષે મોટો ઘટાડો થઈ શકે છે. અચાનક આવેલી આ આફતને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:12 am

શ્રમિકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું:અફાટ રણમાં મોત દેખાતું હતું ત્યાં ‘પોલીસ અને ગ્રામજનો’ દેવદૂત બન્યા

ગત રાત્રે કચ્છના રણ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. દાહોદથી મજૂરી અર્થે આવી રહેલા 9 જેટલા શ્રમિકો રણના કાચા રસ્તે રસ્તો ભુલી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ભૂખ અને તરસથી વ્યાકુળ આ શ્રમિકોની વ્હારે આડેસર પોલીસ અને સ્થાનિક ગ્રામજનો આવ્યા હતા. સતત 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશનની જહેમત બાદ તમામ સુરક્ષિત બહાર કઢાયા હતા. આડેસર પીઆઇ વી.એ.સેંગલે વિગતો આપતા જણાવ્યું હતું કે, પલાસવા ગામના રામભાઈ ભરવાડને ત્યાં મજૂરી કામ માટે દાહોદના શ્રમિકોને બોલેરો પીકઅપ વાહનમાં ટીક્કર ગામથી રણના કાચા રસ્તે લાવવામાં આવી રહ્યા હતા. સાંજે 7:00 વાગ્યાની આસપાસ રણના અફાટ વિસ્તારમાં ડ્રાઈવર દિશા ભુલી ગયો હતો. દિવસે પણ આ અફાટ રણમાં રસ્તો શોધવો મુશ્કેલ બને તેમાં રાત્રિનો સમય હોવાથી અને ચારેય બાજુ અંધકાર હોવાથી વાહન ક્યાં છે તેની કોઈ સમજ પડતી નહોતી. શ્રમિકો પાસે ખોરાક કે પાણીની પણ કોઈ સુવિધા નહોતી. અફાટ રણમાં મોત સામે દેખાતું હતું ત્યાં આ બાબતની જાણ તેમને થતાં તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ટીમ તૈયાર કરી હતી. પોલીસ સ્ટાફના જે. વી. જાડેજા, બાબુભાઇ ચૌધરી સહિતના જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. રણનો વિસ્તાર હોવાથી પોલીસ માટે પણ લોકેશન શોધવું પડકારજનક હતું. આથી પોલીસે પલાંસવા ગામના આગેવાનો શકતાભાઈ, રામાભાઈ અને રણછોડભાઈનો સંપર્ક કર્યો હતો. ગ્રામજનો પોતાના ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે પોલીસની મદદે આવ્યા હતા.પીકઅપના ચાલક રામા રણછોડ ભરવાડે જણાવ્યું હતું તમામ શ્રમિક એમપી, દાહોદ, ગોધરા બાજુના હતા. આ અફાટ રણમાં સીમાચિહ્ન ન હોવાથી મોટો પડકારરાત્રિના સમયે આ અફાટ રણમાં કોઈ સીમાચિહ્ન ન હોવાથી દિશા નક્કી કરવી મુશ્કેલ હતી. શ્રમિકો પાસે સ્માર્ટ ફોન પણ નહીં અને નેટવર્કના પણ ધાંધીયા પરંતુ સતત 5 કલાક સુધી રણનો ખૂણેખૂણો ખુંદી નાખ્યા બાદ અંતે અમારૂં આ રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું અને ફસાયેલા શ્રમિકો મળી આવ્યા હતા. જેમને હેમખેમ બહાર સુરક્ષિત લઇ અવાયા હોવાનું પીઆઇ સેંગલે જણાવ્યું હતું. પલાંસવા -ટીકર હળવદ માટે 20 કરોડ મંજૂર થયા છતા કામ શરૂ થયું નથી ?કચ્છના નાના રણથી ઝાલાવાડ સૌરાષ્ટ્ર તરફ જવા માટે લોકો શોર્ટકટ થતો હોવાથી વધારે પડતો ઉપયોગ થઇ રહ્યો છે. ફોરેસ્ટ દ્વારા દિશા સૂચક લગાવામાં આવે તો રણમાં અવર જવર કરતા લોકો માટે ફાયદારૂપ થાય તેમ છે,તો પલાંસવા થી ટીકર હળવદ અવરજવર માટે રોડ બનાવા રૂ.20 કરોડ રૂપિયા જેટલી વહીવટી મંજૂરી પણ મળી ગયેલ છેઘ તો કામ કેમ થતું નથી ? તેવું પલાંવાના સકતાભાઈ ભરવાડે જણાવ્યું હતું. પાણી અને નાસ્તો કરાવી ઘરે પહોંચાડ્યારેસ્ક્યુ કરાયેલા શ્રમિકો ભય અને ભૂખ-તરસથી ફફડી રહ્યા હતા. પોલીસે સ્થળ પર જ તેમને પાણી અને સૂકો નાસ્તો કરાવી ધરપત આપી હતી. ત્યારબાદ તમામને સુરક્ષિત રીતે તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડ્યા હતા. મોત સામે દેખાતું હતું ત્યારે ખાખી વર્દીમાં મળેલા દેવદૂતો અને ગામ લોકોનો શ્રમિકોએ ભીની આંખે આભાર માન્યો હતો. 15 વર્ષ પહેલાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કરી 6 જણાને બચાવાયા હતાકચ્છના નાના રણમાં અવારનવાર વટે માર્ગુ સંપર્ક વિહોણા થઇ જતા હોય છે. આજ થી 15-16 વર્ષ પેહલા પણ આધોઇ તથા પલાંસવા ગામના માલધારી રણમાં અચાનક વરસાદ પડવાથી નાના રણ માં ફસાઈ ગયા હતા ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા જામનગરથી વાયુસેનાના હેલીકૉપટરથી છ થી સાત વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:12 am

વોર ઇફેક્ટ:મે મહિનાના વેકેશન માટે પ્રવાસીઓ ‘વેઇટ એન્ડ વોચ’ મોડમાં

ઉનાળુ વેકેશન નજીક આવતાં સામાન્ય રીતે પરિવાર સાથે પ્રવાસની તૈયારીઓ તેજ બનતી હોય છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક પરિસ્થિતિને કારણે પ્રવાસીઓમાં અનિશ્ચિતતા છવાઈ છે. તારીખ 1 મે થી શરૂ થનારા આશરે 40 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન ફરવા જવાના પ્લાન બનાવતા લોકો હાલ ‘વેઇટ એન્ડ વોચ’ની સ્થિતિમાં જોવા મળે છે. વિશ્વભરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિના કારણે પ્રવાસ ઉદ્યોગ પર સીધી અસર જોવા મળી રહી છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને વિદેશ પ્રવાસ માટેની ઇન્કવાયરી લગભગ બંધ થઈ ગઈ છે. અગાઉ ઉનાળામાં કચ્છ સહિત ગુજરાતના લોકો કુલ્લુ-મનાલી, સિમલા, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તર તેમજ પૂર્વોતર ભારતના પ્રવાસ સ્થળોએ જવાનું પસંદ કરતા હતા, પરંતુ આ વર્ષે આ સ્થળો માટે પણ પૂછપરછ નોંધપાત્ર રીતે ઘટી છે. વિમાન ભાડામાં થયેલા વધારાએ પણ પ્રવાસીઓને અટકાવ્યા છે. અમદાવાદથી બેંગકોક માટે જે ભાડું અગાઉ રૂ. 25,000 જેટલું હતું તે હવે વધીને રૂ. 50,000 થી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વિદેશ પ્રવાસ ખર્ચાળ બની ગયો છે. સાથે જ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકો નિર્ણય લેતા અચકાશે છે. બીહોટેલ અને રિસોર્ટ ઉદ્યોગ પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થયો છે. રાજકોટના એક હોટેલિયરના જણાવ્યા મુજબ ગેસની અછતને કારણે મેનુમાં કાપ મૂકવો પડી રહ્યો છે. હેવી બ્રેકફાસ્ટની જગ્યાએ હવે બ્રેડ-બટર જેવી સરળ વસ્તુઓ આપવામાં આવી રહી છે. અમદાવાદ નજીકના રિસોર્ટ માલિકો પણ માને છે કે બુકિંગ ખૂબ ઓછી છે અને તેઓ મેનુ મુજબની સર્વિસ આપી શકશે કે નહીં તે અંગે નિશ્ચિત નથી. કચ્છમાંથી રેલવે અને વિમાન બુકિંગ પર પણ અસર પડી છે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે તો અચાનક પ્રવાસની માંગમાં વધારો થઈ શકે છે, પરંતુ હાલ પ્રવાસીઓ સાવચેતીપૂર્વક રાહ જોવાના મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:11 am

ભજનની દુનિયામાં છવાયો શોક:‘કચ્છ તે વઠા મીં’ ફેમ ખ્યાતનામ ભજનિક પ્રવીણભાઈ સૂરદાસે લીધા અંતિમ શ્વાસ

કચ્છની ભજનિક દુનિયાના જાણીતા સૂર સમ્રાટ પ્રવીણભાઈ નારાણભાઈ ગોરનું (સૂરદાસ) કેન્સરની બીમારીથી અવાસન થતા ચ્છ સહીત રાજ્યમાં ભજનની દુનિયામાં શોકનો માહોલ છવાયો છે. મૂળ અંજાર તાલુકાના ટપ્પર ગામના વતની અને હાલ ભુજ સ્થિત પ્રવીણભાઈએ માત્ર 13 વર્ષની નાની વયથી ભજનો ગાવાની શરૂઆત કરી હતી. તેઓ માત્ર અદભૂત ગાયક જ નહીં, પરંતુ કુશળ તબલા વાદક પણ હતા. છેલ્લા એક વર્ષથી કેન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા આ કલાકારના નિધનથી સૂરના તાર અચાનક તૂટી ગયા છે અને ભજન જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. તેમનું ગાયેલું ગીત “કચ્છ તે વઠા મી” સમગ્ર કચ્છથી લઈને દેશ-વિદેશમાં વસતા કચ્છીઓમાં સદાબહાર રહ્યું છે. કચ્છમાં જયારે પણ વરસાદ પડે ત્યારે આ ગીત સોશિયલ મીડિયામાં છવાયેલું રહે છે અને તેમને આ ગીત સહિતના અનેક ભજનોએ અપાર પ્રસિદ્ધિ અપાવી હતી. ભુજના ઐતિહાસિક ભૂતનાથ મંદિરમાં દર શ્રાવણ માસે તેઓ નિયમિતપણે પોતાની વાણીનો લાભ આપતા હતા. તેમના ચાહકવર્ગનો વ્યાપ માત્ર કચ્છ કે કાઠિયાવાડ પૂરતો સીમિત નહોતો, પરંતુ મુંબઈ અને છેક વિદેશ સુધી ફેલાયેલો હતો. આ અંગે જાણીતા કલાકાર શૈલેશ જાનીએ જણાવ્યું હતું કે કચ્છે એક દિગ્ગજ તબલાવાદક અને ભજનિક ગુમાવ્યો છે. તેઓએ કોઈ પણ જાતના પૈસા લીધા વિના અનેક મંડળોમાં ભજનના કાર્યક્રમ કર્યા છે. તેમને નિરંજન પંડ્યા અને કીર્તિદાન ગઢવી સહિતના કલાકરો સાથે ભજનના કાર્યક્રમો કર્યા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમના પત્નીની પણ માત્ર 30 ટકા જ નજર છે. પ્રવીણભાઈના જવાથી કચ્છે એક મોટા ગજાના લોક કલાકાર ગુમાવ્યા છે. છેલ્લા દિવસોમાં ભૂતનાથ સંસ્થાન અને ઓસમાણ મીર સહીતના આગેવાનો અને સંસ્થાઓએ તેમને બિમારીમાંથી બહાર લાવવા મહેનત કરી રહ્યા હતાં. પ્રવીણભાઈની ઓળખ એક પરોપકારી અને ધાર્મિક વ્યક્તિ તરીકેની હતી. આધ્યાત્મિકતા અને ભજન તેમના લોહીમાં હતી, જેને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ સ્થિર રહી શકતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:03 am

મોરારી બાપુના વ્યાસપીઠે માનસ મુકુરાષ્ટ્રક રામકથા યોજાઈ:કચ્છીઓની ભક્તિ, ખુમારી, શ્રોતાઓની વિશિષ્ટતા અનેરી

માધાપર ખાતે મોરારી બાપુની વ્યાસપીઠ પરથી માનસ મુકુરાષ્ટ્ર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં બીજા દિવસે બાપુએ કચ્છના લોકોની ભાવભક્તિ, ખુમારી, શ્રોતાઓની વિશિષ્ટતા અને કચ્છડો બારેમાસ સહિત જ્યાં રામાયણના પાઠ ગુણગાન ગવાય છે અને ભવિષ્ય ગોતી લે એ કચ્છ છે, તેમ કચ્છના વખાણ કર્યા હતા. ગુરુની મહીમા વિશે ઊંડાણપૂર્વક જણાવતા કહ્યું કે ગુરુ પાસે કંઇ પણ ના માંગો એ જ શ્રેષ્ઠ માંગણી છે સાથે સાથે કચ્છના જેસલ જાડેજા અને સતી તોરલને યાદ કરી સતી તોરલની ભક્તિની શક્તિને વર્ણવ્યું હતું. કથાના બીજા દિવસે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટ્યા હતા. જેથી વિશાળ કથા મંડપ પણ ટૂંકું પડ્યું હતું. ભાવિકોથી ખીચોખીચ મંડપ ભરાઈ ગયું હતું. કથામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, નેતાગણ સહિત કચ્છ-ગુજરાતના રાજકીય આગેવાનો, અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોની ઉતારાની ખાસ વ્યવસ્થા વેલજીભાઈ આહીર, વિનેશ રામ સાધુ, ધનજીભાઈ કેરશિયા સાંભળી રહ્યા છે. ભારે ભીડ અને વાહનોના ધસારાથી ટ્રાફિક : પોલીસ અને કાર્યકરો દ્વારા વ્યવસ્થા ગોઠવાઇમાધાપર ખાતે મોરારી બાપુની વ્યાસપીઠ પરથી ચાલતી રામકથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. વિશાળ કથા મંડપ અને અલગ અલગ ગાડી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં પણ બીજા દિવસે કથા મંડપ અને પાર્કિંગ જગ્યા પણ ટૂંકી પડી હતી એટલી મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળ્યા હતા. ભોજન કક્ષ તરફ જતા ભારે ભીડ અને લોકોનું ધસારો જોવા મળ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા પોલીસ અને કાર્યકરોએ સારી આવી સેવાઓ પૂરી પાડી વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:02 am

મહામૂલા જળનો થયો વેડફાટ:વર્લ્ડ વોટર ડેની ઉજવણી વચ્ચે જ મુન્દ્રામાં લાખો લિટર પાણીનો વેડફાટ

રવિવારે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરાઈ હતી, ત્યારે મુન્દ્રા શહેરના વસંત હેરિટેઝ અને આશાપુરા નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીનો સતત બગાડ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઇનમાં આવેલા લીકેજને કારણે દરરોજ લાખો લિટર પાણી બિનજરૂરી રીતે વહે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. એક તરફ સરકાર પાણી બચાવવાના સંદેશા આપી રહી છે અને વિવિધ અભિયાનો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મુન્દ્રાના આ વિસ્તારોમાં પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થતો હોવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનીકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. વધુમાં, સતત પાણી વેડફાતા રહેણાંક વિસ્તારોના મેદાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે મચ્છરજન્ય અને અન્ય રોગચાળાના ફેલાવાનો ભય પણ વધી રહ્યો છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર પાણીના બગાડ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઉભું કરી રહી છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક લીકેજ દૂર કરીને પાણીના બગાડને રોકવા અને બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય, તો આ મુદ્દે લોકો દ્વારા વધુ ઉગ્ર વિરોધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:59 am

માતાના મઢમાં ભક્તોની ભીડ:માતાનામઢમાં ચોથા નોરતે મંદિર પરિસર પડ્યું સાંકડું

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રીના રવિવારે પાંચમા નોરતે 25 હજાર કરતાં પણ વધુ સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા. જેને લઈને મંદિર પરિસર સાંકડું પડ્યું હતું વહેલી સવારથી મોડી રાત સુધી યાત્રિકોની અવરજવર ચાલુ રહેતા માતાજીના દર્શન માટે ભાવિકો કોઈ લાંબી કતાર લગાવી તેમના આશીર્વાદ લીધા હતા. રવિવારે જાહેર રજાને લઈને મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા અંદાજે 25 હજાર કરતા પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી યાત્રિકોએ મા આશાપુરા તેના દર્શન માટે મંદિર પરિસરમાં લાંબી કતાર લગાવી હતી. તેમજ અહીં આવેલા મોટી સંખ્યામાં માઇ ભક્તોએ બપોરે ભોજન પ્રસાદ માટે પણ લાંબી લાઈન લગાવતા મંદિર પરિસર સાંકડું પડ્યું હતું. યાત્રિકોને કોઈ અગવડ ન પડે તેમજ માતાજીના સરળતાથી દર્શન કરવાની સાથે ભોજન પ્રસાદનો લાભ લઈ શકે તે માટે જાગીર ટ્રસ્ટનો સ્ટાફ તેમજ પૂજારી સ્ટાફ દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને અહીંની મુખ્ય બજાર બસ સ્ટેશન વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. યાત્રિકો ખાનગી વાહનો દ્વારા આવ્યા હોવાથી પાર્કિંગ પ્લોટમાં પણ મોટી સંખ્યામાં વાહનોની કતાર જોવા મળી હતી. આજે રાત્રે મહા આરતી સાથે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશેમાતાનામઢમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા છંદ સાથે ખેલૈયાઓ દ્વારા માતાજીના ગરબા લેવામાં આવે છે. આજે પાંચમા નોરતે રાત્રે અહીં મહા આરતી સાથે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ રાજા વાસુ ગ્રુપ દ્વારા રાસ ગરબા સાથે માતાજીના ગુણગાનનો કાર્યક્રમ યોજાશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:52 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મઢથી માત્ર 2 કિમી દૂર આવેલા જાગોરા ડુંગરના દર્શનાર્થીઓ રેતાળ રસ્તાના કારણે પરેશાન થયા

માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનિકો માટે કનેક્ટિવિટી વધારવા એક મહત્વના માર્ગને પાકો બનાવવાની માંગ ઉગ્ર બની છે. મઢથી અંદાજે બે કિલોમીટરના અંતરે આવેલા ધાર્મિક સ્થાન ‘જાગોરા ડુંગર’થી નખત્રાણાના પાનેલી ગામ સુધીના કાચા અને રેતાળ માર્ગને વહેલી તકે ડામર રોડમાં પરિવર્તિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મઢ આવતા યાત્રિકો પૈકી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઢથી અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા જાગોરા ડુંગર પર બિરાજમાન ‘જાગોરા માતાજી’ના દર્શનાર્થે જતા હોય છે. આ ડુંગરથી પાનેલી ગામ પણ માત્ર અઢી-ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જોકે, આ બંને ગામ વચ્ચે આવેલો જાગોરા ડુંગરનો માર્ગ બંને તરફથી અત્યંત કાચો અને રેતીવાળો છે. જેના કારણે વાહનો લઈને આવતા યાત્રિકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઘણીવાર વાહનો ફસાઈ જવાની નોબત આવે છે. જો આ રસ્તાનું ડામર માર્ગ તરીકે નવનિર્માણ કરવામાં આવે તો આ વિસ્તારના અનેક લોકોને મોટો ફાયદો થશે. યાત્રાધામ માતાના મઢ અને નખત્રાણા તાલુકાના પાનેલી ગામ વચ્ચે સીધો અને પાકો માર્ગ બની જવાથી આસપાસના વિસ્તારના લોકોને માતાના મઢ પહોંચવું ખૂબ જ સરળ અને ઝડપી બની જશે. પૂર્વ સરપંચની લેખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાંમાતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ તંત્રની બેદરકારી છતી કરતા જણાવ્યું કે, “અંદાજિત 5 કિમીના અંતરવાળો આ રસ્તો બે તાલુકાઓને જોડતો મહત્વનો છે. હું જ્યારે સરપંચ પદે હતો, ત્યારે આ કાચા માર્ગને પાકો બનાવવા માટે સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.”

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:52 am

હાઇ માસ્ટલાઇટ એક અઠવાડિયામાં જ બંધ:‘ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત’ હોસ્પિટલ રોડ પર અંધારપટ છવાયું

શહેરના હોસ્પિટલ રોડ પર ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે પાલિકા દ્વારા લાખોના ખર્ચે હાઈમાસ્ટ ટાવર ઉભો કરાયો હતો, જેનો હેતુ આ વિસ્તારને પ્રકાશિત કરવાનો હતો. પરંતુ આ સુવિધા માત્ર ચાર દિન કી ચાંદની સાબિત થઈ છે. હાલમાં આ હાઈમાસ્ટ ટાવર બંધ છે અને તેની સાથે આસપાસની રોડ લાઈટો પણ ગુલ થતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ગરકાવ થયો છે.હોસ્પિટલ રોડ માત્ર હોસ્પિટલો માટે નહીં, પરંતુ ખાણી-પીણીના કેન્દ્ર તરીકે ઓળખાય છે. દરરોજ સાંજે અહીં હજારોની સંખ્યામાં નાગરિકોની અવરજવર રહે છે, તેમ છતાં પાલિકાના શાસકો આ વિસ્તારની પ્રાથમિક સુવિધા પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવી રહ્યા છે. રસ્તા પર ખાડા અને ઠેર-ઠેર જોવા મળતી ગંદકી દૂર કરવામાં નિષ્ફળ ગયેલી પાલિકા હવે પાયાની જરૂરિયાતમાં પણ કાપ મૂકી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:48 am

મંડે પોઝિટીવ:માનવસેવાનો યજ્ઞ, માધાપરના ભજનધામની સૂરથી સેવા

કચ્છનું માધાપર ગામ માત્ર તેની આર્થિક સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ તેના અજોડ સેવાભાવી અભિગમ માટે પણ વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. ‘સેવા એ જ પરમો ધર્મ’ના મંત્રને આચરણમાં મૂકતા માધાપરના બાલાજી ભજનધામ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભક્તિ અને સામાજિક જવાબદારીનો એક પ્રેરણાદાયી સંગમ રચવામાં આવ્યો છે. માધાપર સ્થિત યક્ષ મંદિરની બાજુમાં આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે દર શનિવારે રાત્રે સંતવાણી અને ભજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આધ્યાત્મિક શાંતિની સાથે લોકકલ્યાણનો પણ છે. આ ભજનધામની વિશેષતા એ છે કે, અહીં યોજાતી સૂરસાધના માત્ર મનોરંજન કે પરંપરા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અનેક લોકો માટે આશાનું કિરણ બની છે. કાર્યક્રમ દરમિયાન ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવતી ઘોર અને ફાળાની તમામ રકમનો ઉપયોગ સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે. આરોગ્ય, શિક્ષણ અને સેવામાં આ રકમનો પવિત્ર ઉપયોગ કરવાથી આ ભજનધામ અનોખું વાતાવરણ રચી રહ્યું છે. બાલાજી ભજનધામમાં રાજુભાઈ ગજ્જર, કનુભાઈ ગોસ્વામી, ઉમેશભાઈ ગજ્જર, વસંતભાઈ ભાનુશાલી, હરેશભાઈ ગજ્જર, યોગેશભાઈ ગજ્જર, મૌલિકભાઈ, નિખિલભાઈ ગજ્જર, રમેશભાઈ કારા, દીક્ષિતભાઈ ગજ્જર, કાદરભાઈ મીર, અર્જુનગીરી ગોસ્વામી, સિદ્દીક ઉસ્તાદ, શામજી ભગત, રુદ્ર દરજી, નારણભાઈ સુથાર, આર્યન ગોસ્વામી, વિનોદભાઈ ગોસ્વામી સહીત સેવાભાવી સભ્યો અને સાજિંદાઓ જોડાતા હોય છે. ભજનથી એકત્રિત થયેલા ભંડોળમાંથી ખાસ કરીને ડાયાલિસિસના ગંભીર દર્દીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ તેમની મોંઘી સારવાર વિનામૂલ્યે કે રાહત દરે કરાવી શકે. ગ્રુપના સદસ્યો આ યજ્ઞને અવિરત ચલાવી રહ્યા છે. અહીં ભજનના સૂર જ્યારે ગુંજે છે ત્યારે તેનો સીધો લાભ સમાજના છેવાડાના માણસને મળે છે, જે સાબિત કરે છે કે જો સાધનામાં શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવ હોય, તો તે સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આમ, માધાપરનું બાલાજી ભજનધામ આજે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કરુણા અને સમર્પણની એક જીવંત મશાલ બનીને ઉભરી આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છ જિલ્લાના 2.62 લાખ પરિવારોને મળશે એપ્રિલમાં ત્રણ મહિનાનું એક સાથે રાશન

કચ્છ સહીત દેશભરના રેશનકાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવનારા એપ્રિલ મહિનામાં કચ્છના 2,62087 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને એક સાથે ત્રણ મહિનાનું એપ્રિલ, મે અને જૂન મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં 2.62 લાખ રેશન કાર્ડ ધારકો સહીત 10.50 લાખ લોકોને સીધો ફાયદો મળશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તમામ લાભાર્થીઓ પોતપોતાની નજીકની વાજબી ભાવની દુકાન પરથી નક્કી કરેલા સમય દરમિયાન આ અનાજ મેળવી શકશે. આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, તેમ છતાં આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત મળશે તેવી શક્યતા છે. સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન આશરે દેશમાં 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હવે રેશનકાર્ડ અને લાભાર્થીઓની માહિતી સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે. લગભગ તમામ વાજબી ભાવની દુકાનો પર ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે અનાજ વિતરણ વધુ પારદર્શક અને સરળ બન્યું છે. આ સાથે જ 99 ટકા કરતાં વધુ લાભાર્થીઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે અને લગભગ 98 ટકા વિતરણ બાયોમેટ્રિક આધારે થઈ રહ્યું છે. કચ્છમાં ગરીબોનું અનાજ મેળવતા 30 હજાર લોકોના કાર્ડ રદ્દવર્ષ 2025માં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં શંકાસ્પદ રેશન કાર્ડની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના 1.28 લાખ રેશન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા કક્ષાએ કેન્દ્ર સરકારની યાદી મુજબ વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 30 હજાર જેટલા રાશન કાર્ડને રદ્દ કરવામાં આવ્યા છે. આ એવા લોકો હતા જે પોતે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકાર પાસેથી અનાજ મેળવીને ગરીબોનું અનાજ પર તરાપ લગાવતા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:44 am

હિંસક જૂથ અથડામણ સર્જાઈ:ઘોઘાના કરેડા ગામે પ્રેમલગ્ન મુદ્દે એક જ પરિવાર વચ્ચે થયેલી હિંસક અથડામણ

ઘોઘા તાલુકાના કરેડા ગામે એક જ પરિવારની યુવતી દ્વારા કુટુંબિક સગાના દીકરા સાથે પ્રેમલગ્ન કરવાના મુદ્દે ઉગ્ર વિવાદ ભડકતા બે પક્ષ વચ્ચે લોખંડના પાઇપ, લાકડાના ધોકા, દાતરડું અને મરચાની ભૂંકી વડે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કરેડા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ જણાવ્યા મુજબ કરેડા ગામે રહેતા નાગજીભાઈ દામાભાઈ જાદવે નોંધાવ્યું હતું કે સાંજના સમયે તેઓ પોતાના ગામની દૂધની ડેરી પાસે પોતાના પુત્ર મગનભાઈ સાથે બેઠા હતા ત્યારે તેમના ભત્રીજા જીવણ વેલાભાઈ જાદવ દૂધનો કેન લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ મગનભાઈને દીકરી ભગાડવાના મુદ્દે ઉશ્કેરતી ભાષામાં ટોકી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. નાગજીભાઈએ મામલો શાંત રહે તે માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે દીકરીને ભગાડી ગયા હો તો પણ અમને શાંતિથી જીવવા દો, છતાં જીવણ ઉશ્કેરાઈ ઝઘડામાં ઉતરી પડ્યો હતો. થોડી જ વારમાં જીવણનો ભાઈ બટુક તથા તેના પુત્રો મુન્ના અને વિપુલ પણ ત્યાં આવતા મામલો બગડ્યો હતો. મુન્નાના હાથમાં રહેલો લોખંડનો પાઇપ જીવણે ઝૂંટવી નાગજીભાઈના કપાળમાં જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા મગનભાઈ પર પણ લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ તથા પરિવારની વહુ સવુબેન વચ્ચે પડતા જીવણના પુત્ર હિતેશ અને પુત્રી કાજલે ઈંટના ટુકડાઓ વડે સવુબેનના મોઢા અને ડાબી આંખ ઉપર ગંભીર પ્રહાર કર્યો હતો, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. ઉગ્ર દેકારો થતા લોકો એકત્ર થઈ વચ્ચે પડ્યા હતા. જીવણ વેલાભાઈ જાદવ, બટુક વેલાભાઈ જાદવ, મુન્ના બટુકભાઈ જાદવ, વિપુલ બટુકભાઈ જાદવ, હિતેશ જીવણભાઈ જાદવ, કાજલ જીવણભાઈ જાદવ તથા વિનુ બટુકભાઈ જાદવ દ્વારા નાગજીભાઈ અને તેમના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બીજા પક્ષની ફરિયાદ મુજબ, જીવણભાઈ વેલાભાઈ જાદવે જણાવ્યું હતું કે તેઓ દૂધ ભરવા માટે ગામની ડેરીએ ગયા હતા ત્યારે તેમના કાકાના દીકરા મગન નાગજીભાઈ જાદવે તેમને રોકી તેમની દીકરીને ભગાડવામાં તમારો હાથ હોવાનું કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને ગાળો આપવાની ના પાડતા મગન ઉશ્કેરાઈ ગયો હતો જ્યાં મગનએ પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે જીવણભાઈના હાથ પર પ્રહાર કર્યો હતો તેમજ જમણા ગાલ ઉપર બટકું ભરી લીધું હતું. આ દરમિયાન મગનભાઈની પત્ની સવુબેન હાથમાં દાતરડું લઈને હુમલો કરવા દોડી આવી હતી, પરંતુ જીવણભાઈના ભત્રીજાએ દાતરડું ઝૂંટવી લઈ બચાવ કર્યો હતો. તેમ છતાં ઝઘડો વધુ ઉગ્ર બનતા ધીરુ નાગજીભાઈ ધારિયું લઈને, હાર્દિક મગનભાઈ લાકડાનો ધોકો લઈને અને નાગજી દામાભાઈ મરચાની ભૂંકી લઈને જીવણભાઈ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં જીવણભાઈને ઇજાઓ પહોંચતા તેમના પરિવારજનો વચ્ચે પડી તેમને બચાવ્યા હતા. બનાવ બાદ મગન નાગજીભાઈ, ધીરુ નાગજીભાઈ, હાર્દિક મગનભાઈ, નાગજી દામાભાઈ અને સવુબેન મગનભાઈએ જીવણભાઈને ધમકી આપી હતી કે જો તેમનું નામ લેશો અથવા આબરૂ અંગે વાત કરાશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર બનાવને પગલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે. દીકરીએ પ્રેમલગ્ન કરતા પરિવારમાં થયું ધીંગાણુંબનાવવાનું કારણ એવું હતું કે મગનભાઈ ની દીકરી એ તેમના કાકા ની દીકરી જમનાબેન બુધાભાઈ ના દીકરા સંજય સાથે પ્રેમ સંબંધ હોવાથી લગ્ન કરી લીધા હતા અને જેની શંકા મગનભાઈને જીવણભાઈ માથે હોય અને જીવણભાઈ મગનભાઈને દીકરી લઈ ગયા બાબતે ઉશ્કેરતા હોય તે બનાવ બનતા કરેડા ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે હિંસક મારામારી સર્જાઇ હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:41 am

ગુજકેટની પરીક્ષા:29 માર્ચે ભાવનગરમાં કુલ 7116 પરીક્ષાર્થી આપશે ગુજકેટ

હવે ધો.12 સાયન્સ ત્યારે વિદ્યાર્થીઓ તા.29 માર્ચને રવિવારે 10થી 4 વાગ્યા દરમિયાન લેવાનારી ગુજકેટની તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષે રાજ્યમાં કુલ 1,35,875 પરીક્ષાર્થી ગુજકેટમાં નોંધાયા છે જે ગત વર્ષે નોંધાયેલા 1,29,706ની તુલનામાં આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા છે. ખાસ કરીને એ ગ્રુપમાં અને આઇટી તેમજ કમ્પ્યૂટર સાયન્સમાં રોજગારી વધતા એ ગ્રુપમાં આ વર્ષે 58,406 પરીક્ષાર્થી નોંધાાય છે જે ગત વર્ષે 49,175 હતા. આ વર્ષે ગ્રુપ એમાં 9,231 વિદ્યાર્થીઓ વધ્યા છે જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 3077 પરીક્ષાર્થી ઘટ્યા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 7116 પરીક્ષાર્થી નોંધાયા છે જેમાં 5807 ગુજરાતી માધ્યમ અને 1309 પરીક્ષાર્થી અંગ્રેજી માધ્યમના નોંધાયા છે. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 10થી 4 વાગ્યા સુધીમાં યોજાશે. વર્ષ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલોમાં ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત વિષયમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં હશે. NCERT આધારિત ગુજકેટની પરીક્ષા રહેશે. જેમાં તમામ વિષયના 40 પ્રશ્નો હશે જે તમામ 40 ગુણના હશે. આમ કુલ 160 ગુણની ગુજકેટની પરીક્ષા યોજાશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ રહેશે જેના માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. વિષય અને માર્ક્સવાઇઝ અભ્યાસક્રમ પરીક્ષા માટે વિષયવાઇઝ સમયગુજકેટમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન માટે 120 મિનિટનો સમય રહેશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટનો સમય રહેશે. આ વર્ષે રાજ્યમાં 6,169 પરીક્ષાર્થી વધ્યા

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:40 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:નેચરલ પાર્કના જોગર્સ પાર્કમાં યુરિનલ જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ

ભાવનગરમાં એરપોર્ટ રોડ નેચરલ પાર્ક ( સુભાષનગર)ની સામે મહાનગરપાલિકા સંચાલિત જોગર્સ પાર્ક આવેલો છે. આ જોગર્સ પાર્ક આ વિસ્તારના લોકો માટે બહુ ઉપયોગી છે, સિનિયર સિટીઝનો આ સ્થળે વોકિંગ અને સાંજનો સમયે રિલેક્સ થાય છે. આ પાર્ક આમ તો સુઘડ અને સ્વચ્છ છે, પરંતુ અહીં યુરિનલની વ્યવસ્થા ન હોવાથી ઉંમરલાયક વડીલોને મુશ્કેલીનો અનુભવ થાય છે. આજુબાજુમા પણ આવી કોઈ વ્યવસ્થા ન હોય વૃદ્ધાવસ્થાની યુરિનલની તકલીફ ધરાવતા વડીલોને માટે યુરિનલ વ્યવસ્થા સંબંધિત વિભાગ કરે તેવી લોકમાગણી છે. વધુમાં આ પાર્કમાં સફાઈ વગેરે જાળવણી અંગેનાં કામદારો આ કામગીરી ખૂબ સારી રીતે નિભાવે છે અને સાફ સૂથરૂ રાખે છે,સાથે સાથે વૃક્ષો/છોડવાઓની માવજત પણ કરે છે.પણ અહીં નિયમિત સિકયુરીટી વોચમેન નથી,જે કારણે ‌હાલમા અહીં કસરતના સારા સાધનો સુવિધામાં લોકાપર્ણ કર્યા છે તે નાના બાળકો આવે છે, તે બાળસહજ રમતનાં સાધનો તરીકે ઉપયોગ કરતા હોય અમુક વખતે તેમને ઈજા થવા સંભવ છે,જે બાબતે જરૂરી ચોકસાઈ સંભાળ રાખવી જરૂરી છે. જેથી પાકૅ માં દેખરેખ પણ રહે, પહેલાં અહીં વોચમેન હતાં જે આવી દેખરેખ રાખતા હતાં.જેથી પાકૅમા કાયમી વોચમેનની વ્યવસ્થા કરવા અનુરોધ છે. -સુભાષનગરના વાચક ભદ્રેશભાઈ પાઠકનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:39 am

ટોપ અપ સહાય:ભાવનગરમાં ટોપ અપ સહાયમાં 1157 લાભાર્થીઓને સહાય

ભાવનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય ટોપ અપ સહાય હેઠળ જે યોજના અમલમાં છે તેમાં 100 ટકા રાજ્ય ફાળા હેઠળ યોજના ક્યારથી અમલમાં છે. ગુજરાત વિધાનસભામાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે કુલ 1157 લાભાર્થીઓને કુલ રૂપિયા 5785 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે એક પ્રશ્ન ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પૂછતા ગ્રામ વિકાસ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100 ટકા રાજ્ય વાળા હેઠળ રાજ્ય ટોપ અપ સહાયની યોજના તારીખ પહેલી એપ્રિલ 2025થી અમલમાં છે. આ યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થીને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ એક વર્ષમાં રાજ્ય ટોપ અપ સહાય હેઠળ તરીકે 1157 લાભાર્થીઓને કુલ રૂ. 5785 કરોડની સહાય ચૂકવાઇ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:35 am

વેધર રિપોર્ટ:ગરમી વધી, બે દિવસમાં બપોરે મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધ્યુ

ભાવનગર શહેરમાં વાવાઝોડાની સ્થિતિ વિખાઇ ગઇ છે અને તડકો વધી રહ્યો છે ત્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 23.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા દિવસ અને રાત બન્ને સમય ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં આખો દિવસ પવનની ઝડપ 12 કિલોમીટર રહી હતી. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં જ શહેરમાં ગરમીનો પારો વધીને 34.9 ડિગ્રી પહોંચી ગયો છે. સિસ્ટમ નબળી પડતાં જ ગરમીનો પ્રકોપ ફરી શરૂ થયો છે. જેથી 2થી 3 દિવસમાં જ ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી જશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો તે આજે 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. જ્યારે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 23.2 ડીગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આમ, દિવસ અને રાત્રે તાપમાન વધ્યું છે. શહેરમાં આજે સવાર અને સાંજે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. તો શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા હતુ તે સાંજે ઘટીને 26 ટકા થઇ ગયુ હતુ. માવઠા અને વાવાઝોડાનો માહોલ વીખાઈ ગયા બાદ ભાવનગરમાં બે દિવસમાં બપોરે તાપમાન 4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 35 ડિગ્રીને આંબવા આવ્યુ છે ત્યારે બપોરે ગરમી અને બફારો વધ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:34 am

ઉનાળું વાવેતર:ડુંગળીનું રાજ્યમાં કુલ પૈકી 50 ટકા વાવેતર ભાવનગરમાં થયુ

માવઠા અને સાથે વાવાઝોડા બાદ બાદ હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો ફરી એક વખત આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 5,700 હેક્ટર થયું છે તે પૈકી 2,800 હેક્ટર વાવેતર એકલું ભાવનગર જિલ્લામાં થયું છે એટલે કે રાજ્યના કુલ વાવેતરના 50 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 38,700 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે તો તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 38,700 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે. ઉનાળુ મગફળીનું સમગ્ર રાજ્યમાં વાવેતર 23,400 હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,200 હેક્ટર વાવેતર ઉનાળુ મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 30.77 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:34 am

ભાવનગર રેલવે ડિવિ.ને 2025 ફળ્યુ:2025માં ભાવનગર રેલવે ડિવિ.ને રૂ. 1319.57 કરોડની આવક નોંધાઇ

ભાવનગર રેલવે ડિવિઝનને કેલેન્ડર વર્ષ 2025 ફળ્યુ છે, અને પેસેન્જર, માલ પરિવહન, ટિકિટ ચેકિંગ થકી કુલ 1319.57 કરોડની આવક પ્રાપ્ત થઇ છે. વર્ષ દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન સૌથી વધુ 104.61 કરોડની માલ પરિવહનની આવક થઇ હતી, જ્યારે મુસાફર પરિવહન થકી સૌથી વધુ આવક નવેમ્બર માસમાં 29.50 કરોડની થઇ હતી. રેલ મુસાફરીને મુસાફરો સૌથી વધુ પ્રાધાન્ય આપે છે, તેવી જ રીતે માલ પરિવહનમાં પણ રેલવે પર વધુ ભાર મુકવામાં આવે છે. ભાવનગર રેલવે ડિવિઝન તળે સંચાલીત થતી તમામ ટ્રેનોમાં પેસેન્જરની આવક સવિશેષ નોંધાઇ રહી છે, અને ભાવનગર-બાંદ્રા ટ્રેન ભાવનગર રેલવે ડિવિઝનની સૌથી વધુ આવક રળી આપતી ટ્રેન સાબિત થઇ રહી છે. કાયમ માટે ભાવનગર-બાંદ્રા ટ્રેન હાઉસફુલ હોય છે, અને તેના કારણે જ ભાવનગર-બાંદ્રા વિશેષ સાપ્તાહિક ટ્રેન પણ ફાળવવામાં આવી છે. મહિનાની દ્રષ્ટિએ વર્ષ 2025માં સૌથી વધુ આવક સપ્ટેમ્બર માસમાં થઇ છે, આ મહિના દરમિયાન રેલવેને મુસાફર થકી 26.93 કરોડ, માલ પરિવહન થકી 104.61 કરોડ અને ટિકિટ ચેકિંગ થકી 0.45 કરોડની આવક થઇ હતી આમ કુલ 131.99 કરોડની આવક માત્ર સપ્ટેમ્બર માસમાં થઇ છે, જ્યારે ઓક્ટોબરમાં 128.48 કરોડ, નવેમ્બરમાં 125.73 કરોડની આવક રેલવેને થઇ છે. નોંધપાત્ર આવક છતા નવી ટ્રેનોમાં સુસ્તતાભાવનગર રેલવે ડિવિઝનને નોંધપાત્ર આવક થઇ રહી છે, પરંતુ ભાવનગર-સુરત દૈનિક ટ્રેન ફાળવવા માટે પાલિતાણા-બાંદ્રા ટ્રેન દૈનિક કરવા માટે વારંવારની રજૂઆતો છતા કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. અન્યથા વધુ આવક થાય. > એસ.એન.મહેતા, નિવૃત્ત અધિકારી રેલવે

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:33 am

મંડે પોઝિટીવ:વિકલાંગ કંચનબહેન સંભાળે છે વૃદ્ધ માતા-પિતાની જવાબદારી

ત્રણ વાના મુજને મળ્યા: હાથ, હૈયું અને મસ્તક, ઘણું દઈ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિને સાર્થક કરતી ઘટના જોવા મળી છે અને શારીરિક ખોડખાપણ હોવા છતાં તેઓ લડવૈયાની જેમ જિંદાદિલથી જિંદગી જીવતા હોય છે. આવું જ જિંદાદિલીનું નામ છે કંચનબેન સોલંકી છે. તેઓને બન્ને વિકલાંગતા હોવા છતાં કંચનબહેન 101 વર્ષીય પિતા અને 93 વર્ષીય માતા સહિત કુટુંબની જવાબદારી સંભાળે છે. કંચનબેન મૂળ સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામના વતની છે. હાલમાં પણ તેમના મમ્મી અને પપ્પા ત્યાં ગામડે વસવાટ કરે છે.મમ્મીની ઉંમર 93 વર્ષ અને પપ્પાની ઉંમર 101 વર્ષ છે. તેઓને કંચનબેન મદદરૂપ થાય છે. પાંચ દીકરીઓમાં તેઓ સૌથી નાના હોવાની સાથે લગ્ન કર્યા વિના જ કુટુંબ પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. એ પહેલાં ગામડે રહીને જ માલઢોરનું બધું જ કામ સંભાળતા હતા. તેમને અઢી વર્ષની ઉંમરથી તાવ આવ્યા પછી આંચકાને પોલિયોની બીમારીને કારણે બંને પગ ખોડખાપણભર્યા બની ગયા હતા. અત્યારે 42 વર્ષની ઉંમર તેમની થઈ છે, છતાં તેઓ ખૂબ આનંદથી અને મહેનત કરીને આટલા વર્ષોથી જિંદગી જીવી રહ્યા છે. તેમને જરા પણ જિંદગી પ્રત્યે કોઈ પણ પ્રકારનો રંજ નથી. અત્યારે ભાવનગરની જાણીતી માઈક્રોસાઈન કંપનીમાં તેઓ કામ કરીને પોતાનું જીવન જીવે છે.સારી રીતે તેઓ પોતે ચાલી શકતા નથી. ઢસડાઈને ચાલવું પડે છે, પણ ઢસડાઈને જીવતા નથી. રિક્ષામાં આવન જાવન કરે છે અને એક જગ્યાએ બેસીને તેઓ કામ કરી શકે છે. હાલ વાઘાવાડી રોડ વિસ્તારમાં તેઓને કંપની તરફથી ઓરડાઓ આપવામાં આવતા ત્યાં નિવાસ કરે છે. પગની તકલીફ જિંદગીમાં કાંઈ ખાસ અવરોધક લાગી નહીંહાલમાં તેઓ ભાવનગરની કંપનીમાં જોડાયા છે અને જિંદાદિલથી જીવન જીવી રહ્યા છે. તેમનો ચહેરા ઉપરનો આનંદ પણ કોઈ પણ વ્યક્તિને હિંમત આપી શકે તેવો છે. તેમણે મુલાકાત દરમિયાન જણાવ્યું કે, બાળપણમાં તેમને ખૂબ તાવ આવવા સમયે સમયસર દવાખાને પહોંચી શકાયુ નહોતું અને પછી આંચકા ને પોલિયોની બીમારીને કારણે મને આ રીતે પગની તકલીફ રહી ગઈ હતી.પરંતુ અત્યાર સુધીમાં મને ક્યારેય તે વાત જિંદગી જીવવામાં અવરોધક લાગી નથી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:30 am

ઠગાઈ:બે દલાલ સહિત 22 જણાએ રૂ. 4.53 કરોડની ઠગાઈ કરી

સારોલીની રઘુવીર ટ્રેડ સેન્ટરના વેપારી સહિત 3 વેપારીઓ પાસેથી રૂ.4.53 કરોડનું કાપડ ઉધારમાં લઈ છેતરપિંડી કરનાર બે કાપડ દલાલ સહિત 22 જણા સામે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાય છે. પર્વત પાટિયા સ્થિત ઇન્ટરસિટી ટાઉનશિપમાં રહેતા ચિરાગ મગનભાઈ ચૌધરી રઘુવીર ટ્રેડ સેન્ટર માર્કેટમાં ફેબ્રિકના નામે કાપડનો ધંધો કરે છે. તેમને ત્યાં દસેક વર્ષથી કાપડ દલાલ વિશાલ ઉર્ફે વિકી કનૈયાલાલ ગાંધી દલાલીનું કામ કરે છે. તારીખ 21-12-2014ના રોજ વિશાલ દલાલ રોહિત ઉર્ફે પંકજ ચંદનમલ તેલપુરીયા અને લઈને આવ્યા હતા અને તે મહિધરપુરા ફાલસાવાડી સ્થિત ગોલ્ડન પોઇન્ટમાં વિરાટ એજન્સીના નામે કાપડ દલાલી કરતા હોવાની ઓળખાણ આપી હતી. શરૂઆતમાં બંને દલાલ હોય અલગ-અલગ પાર્ટીને ઉધારમાં કાપડ અપાવી સમયસર પેમેન્ટ આપીને ચિરાગ ચૌધરીનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ બંને દલાલોએ અગ્રવાલ ફેશનના મનોજકુમાર ભાગ્યશ્રી ફેશનના મુકેશ દોશી સહિત 14ને ઉધારમાં રૂ. 2,13,16,2002 નું કાપડ ઉધાર અપાવ્યું હતું. 30 દિવસમાં કાપડનું પેમેન્ટ કરવાનું હતું. જો કે, વેપારીઓએ પેમેન્ટ નહીં કરતા ચિરાગ ચૌધરી ઉઘરાણી શરૂ કરી હતી. પ્રથમ આ વેપારી અને દલાલે રૂપિયા આપી દેવાની વાતો કરી સમય પસાર કર્યા બાદ તમામે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:27 am

લૂંટેરી દુલ્હનએ ફેરાવ્યું ફુલેકું:લગ્નના 5 દિવસમાં જ લૂંટેરી દુલ્હન 1.90 લાખ રોકડા-ઘરેણાં મળી 3 લાખ લઈ ફરાર

પુણાના રત્નકલાકાર સાથે લગ્ન કરી નાસિકની લૂંટેરી દુલ્હન રૂ. 3.04 લાખનો મુદ્દામાલ લઈ ભાગી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પુણા રહેતા પ્રફુલ ગોહિલ (37) રત્નકલાકાર છે. 2015માં તેમના લગ્ન થયા હતા, જોકે મનમેળ નહીં રહેતા 2023માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2024માં લગન્ બાબતે સમાજના મોહન રામજી ટાંકનો સંપર્ક કર્યો હતો. મોહને પોતાના મિત્ર જીતેન્દ્રકુમાર જૈન લગ્ન કરાવતા હોવાનું અને નાસિકમાં એક કન્યા હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં તારીખ 4 -9- 2024ના રોજ મોહને ફોન કરીને પ્રફુલને નાસિક કન્યા જોવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. શીતલ નામની કન્યા સંસ્કારી અને દેખાવડી છે અને તેના પિતા નથી તેમ કહ્યું હતું. બાદમાં પ્રફુલને વીડિયો કોલથી વાત કરાવી હતી. પ્રફુલને કન્યા પસંદ પડતા તેણે લગ્નની હા પાડી હતી. ત્યારબાદ મોહન અને જીતેન્દ્રએ શીતલ નિકમ, તેની માતા શોભના તથા મામા માધવને લઈને તેમના ઘરે આવ્યા હતા અને રૂપિયા 1.90 લાખમાં લગ્ન નક્કી કર્યા હતા. આ રૂપિયા લઇ લીધા બાદ તારીખ 5-9-2024ના રોજ કામરેજ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પ્રફુલે શીતલને ચાંદીના ઝાંઝર, સોનાની વીંટી, નાકનો દાણો આપ્યા હતા. તારીખ 8-9-2024ના રોજ જીતેન્દ્રની પત્નીએ શીતલના ફોન પર કોલ કર્યો હતો અને પ્રફુલને કહ્યું હતું કે શીતલની માતા ગણપતિ ઉત્સવ હોવાથી તેને બોલાવે છે. થોડા દિવસમાં પરત આવી જશે. જો કે, પ્રફુલે પોતે નવા લગ્ન કર્યા હોવાથી ગામડે જવાના છે બાદમાં આવશે એમ કહ્યું હતું. જો કે, ત્યારબાદ લગ્નના પાંચમા જ દિવસે શીતલ ઘરેણાં લઈ નાસી ગઈ હતી અને ફોન બંધ કરી દીધો હતો. આ અંગે જીતેન્દ્ર તથા મામા બનીને આવેલા માધવને કહેતા તેમણે પણ જવાબ આપ્યો ન હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પ્રફુલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેલી દુલ્હન શીતલ બાબુરામ નિકમ, માધવ માઘ (રહે રામેશ્વર નગર ઓરંગાબાદ મહારાષ્ટ્ર), જીતેન્દ્ર જૈન (રહે જોલાદ રાજસ્થાન) અને મોહન પાક (રહે કેવલ પાર્ક અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પહેલી છોકરી પસંદ ન પડી તો બીજી બતાવીમોહન અને જીતેન્દ્ર અગાઉ પ્રફુલને લઈને નાસિક ગયા હતા. જ્યાં તેને એક કન્યા બતાવી હતી પણ પ્રફુલને પસંદ ન આવતાં તેણે ના પાડી દીધી હતી. આ માટે તેણે ભાડા પેટે રૂ. 5000 લીધા હતા. બીજી વખત મોહન અને જીતેન્દ્ર તેમને નાસિક લઈ ગયા હતા અને કન્યા બતાવી હતી, જેના તેમણે ભાડાના રૂ 4000 લીધા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:26 am

પોલીસ દ્વારા ક્રાઇમ પ્રિવેન્શન:રૂપિયા એક હજાર માટે હથિયારો સાથે હત્યા કરવા જતા 6ને પોલીસે રસ્તામાં જ દબોચ્યા

ગોડાદરામાં એક યુવકની 1 હજારની લેતીદેતીમાં 6 બદમાશોએ મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ પહેલા યુવકે ગોડાદરા પોલીસને જાણ કરી દેતાં પોલીસે દોડી આવી જીવના જોખમે ફિલ્મી સ્ટાઇલમાં 3 બદમાશોને દબોચી લીધા હતા. ત્રણેય પાસેથી ચપ્પુ મળી આવ્યા હતા. સીસીટીવીમાં પોલીસની બહાદુરી સામે આવી છે. ગોડાદરા ઘીરજનગરમાં રહેતા 19 વર્ષીય સચીન ચૌધરી પાસે 20મી માર્ચએ મોડીરાતે કનૈયા વિશ્વકર્મા 1 હજારની ઉઘરાણી કરવા આવ્યો હતો. સચીને આરોપી પાસેથી 1 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ ન આપતાં આરોપીઓએ સચીનની સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, તેને મારી નાખવાની ધમકી આપી હતી. જીવ બચાવી સચીન ત્યાંથી ભાગી ગયો હતો અને આ બાબતે ગોડાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધવા કામે લાગી હતી. એટલામાં 2 બાઇકો પર 6 બદમાશો ત્યાંથી જતા હતા. મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ ફરારગોડાદરા પોલીસે જીવના જોખમે બન્ને બાઇકોને અટકાવી 6 પૈકી 3 બદમાશોને ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા, જ્યારે બાકીના 3 ભાગી ગયા હતા. ત્યાર પછી પોલીસે અન્ય 3ને પણ પકડી લાવી છે. પકડાયેલા આરોપીમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવની ધરપકડ કરી છે, જ્યારે સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ ફરાર છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:24 am

અનેક વેપારીઓની લેણદેણ અટકી ગઈ:GST એસેસમેન્ટ બાદ નોટિસોની ભરમાર, વેપારીઓનાં ખાતાં ફ્રીઝ

જીએસટીના એસેસમેન્ટ સહિતના કેસોમાં હવે રિકવરી તેજ થઈ છે અને જે વેપારીએ યોગ્ય પ્રોસિજર નથી કરી તેમનાં બેંક ખાતા ફ્રીઝ કરવા માંડ્યા છે, જેથી અનેક વેપારીઓની લેણદેણ અટકી ગઈ છે અને સી.એ. પાસે દોડી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડીઆરસી-07 પસાર થયો અને અપીલ દાખલ કરવામાં આવી નથી. ઓઆઇએ પસાર થયો અને ટ્રિબ્યુનલ માટે બાંયધરી રજૂ કરવામાં આવી નથી કે અપીલ દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત રોકડ કર ભાગ પર અંતમાં 3બી માટે ચૂકવવાપાત્ર વ્યાજ સહિતની બાબતો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગળની પ્રોસિજર માટે 20% ચૂકવણી કરવી પડશેમાર્ચે એન્ડિંગ-ટાર્ગેટ એચિવ કરવાનો હોય આ પ્રોસિજર શરૂ કરી હોય શકે, જે ઝડપથી કરવાની રહેશે. એસેસમેન્ટ ઓર્ડર બાદ અપીલમાં કે અપીલથી ટ્રિબ્યુલનમાં જવા, બેંક એટેચમેન્ટથી બચવા 20 ટકા ચૂકવણી કરવાની રહેશે. > અતિત શાહ, સી.એ. બોગસ ઓર્ડરને કારણે પણ ઘણા વેપારીઓમાં મુંઝવણબોગસ એસેસમેન્ટ ઓર્ડર અને ઇ-મેલ મામલે પણ કરદાતા સી.એ. પાસે દોડી રહ્યા છે. અનેકને મેઇલ અને ઓર્ડર મોકલાયા છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે પોર્ટલની માહિતી જ સાચી. ફોન કે મેસેજથી આઇટી માહિતી માગતું નથી. આથી સી.એ.ને બતાવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:18 am

વેધર રિપોર્ટ:બે દિવસમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધી 37 થવાની આગાહી

શહેરમાં ઉનાળાની અસર શરૂ થઈ છે. રવિવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાતાં ગરમીનો અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરે તાપમાન ઊંચું રહેતા બફારો વધ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં શહેરમાં ગરમીમાં હજુ વધારો થવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2 ડિગ્રીનો વધારો થઈ 37 ડિગ્રી થઈ શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો માહોલ વધુ તીવ્ર બનવાની સંભાવના છે. બીજી તરફ રાત્રિના તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળવાની શક્યતા નથી. આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે. રાત્રિના સમયે હળવી ઠંડકનો અહેસાસ થશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે, પરંતુ વરસાદની શક્યતા ઓછી છે. આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે બહાર નીકળતા શહેરીજનો માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:17 am

કલોલના ગઠિયાએ એજન્ટના 23 ગ્રાહકોને ચૂનો ચોપડ્યો:અલ્બેનિયાના બોગસ વિઝા પધરાવી એજન્ટ પાસે 39 લાખ પડાવી લેવાયા

સુરતના એજન્ટ પાસે 23 ક્લાઈન્ટને અલ્બેનિયાના વિઝા અપાવાના બહાને કલોલના ઠગે 39.05 લાખ પડાવી ઠગાઈ કર્યાનો બનાવ પાલ પોલીસમાં નોંધાયો છે. પાલનપુર શ્રીલેખા રેસિડેન્સીમાં રહેતા અંકુર પટેલ ગૌરવ પથ પર ઈલાઇટ વિઝા હબના નામે ઓફિસ ધરાવે છે અને વિઝાનું કામ કરે છે. ફેબ્રુઆરી 2025માં તેમને વોટ્સએપ પર કોલ કરી પોતાનું નામ રાજ ઉર્ફે રોકી (રહે કલોલ ગાંધીનગર) જણાવ્યું હતું અને પોતે અલ્બેનિયા, ફિનલેન્ડ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડના વિઝાનું કામ કરે છે એમ કહ્યું હતું. જેથી અંકુરે 3 ક્લાઈન્ટના કામ સોંપ્યા હતા, જેમના 15 એક દિવસમાં વિઝા મોકલી પેમેન્ટ માંગ્યું હતું. જેથી અંકુરે રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અંકુરે બીજા 20 વિઝાના કામ સોંપ્યા હતા, જે માટે રૂ. 39.05 લાખ આંગડિયા મારફતે રાજને દિલ્હી મોકલી આપ્યા હતા. 5 દિવસ બાદ રાજે વિઝા અને ટિકિટ મોકલ્યા હતા. જો કે, ફ્લાઈટના બે દિવસ પહેલાં જ ટિકિટ કેન્સલ હોવાનું કહીને અટકાવી દેવાયા હતા, જેથી અંકુરે એમ્બસીમાં તપાસ કરતાં વિઝા બોગસ નીકળ્યા હતા. 10ની નોટ-કોન્ટેક્ટ નંબર મોકલી પૈસા મંગાવતો હતોરાજ વિઝા આપવાના બહાને આંગડિયા મારફતે દિલ્હી પૈસા મંગાવતો હતો, જે માટે તે 10ની નોટ અને કોન્ટેક નંબર મોકલી આપતો. બાદમાં અંકુર પૈસા મોકલે એટલે નોટ નો નંબર ટેલી કરી પૈસા મળવાનું કહી દેતો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:16 am

ગેસ વપરાશ પર નિયંત્રણ મૂકવા:ઉદ્યોગો 80%થી વધુ ગેસ વાપરશે તો વધારાના યુનિટ દીઠ 49.50ને બદલે 85 રૂપિયા વસૂલાશે

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર ગુજરાતના ઉદ્યોગો પર થઈ રહી છે. ઉદ્યોગોમાં ગેસનો ઉપયોગ ઓછો થાય તે માટે ગુજરાત ગેસ કંપનીએ વપરાશ પર નિયંત્રણ મૂકવા બે સ્લેબ સિસ્ટમ લાગુ કરી છે. કંપની રાજ્યભરમાં 1000થી વધુ ઉદ્યોગોને 7 લાખ કિલોથી વધુ ગેસ પુરો પાડે છે. સુરતમાં જ 300થી વધુ ઉદ્યોગોમાં રોજ 1.50 લાખ કિલો ગેસનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે ટેક્સટાઈલ પ્રોસેસિંગ મિલ, કેમિકલ મિલ અને એન્જિનિયરિંગ, જ્યારે અન્ય શહેરોમાં કેમિકલ, એન્જિનિયરિંગ, ટાઈલ્સ જેવા ઉદ્યોગમાં ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે, જેથી નવા સ્લેબની સૌથી વધુ અસર ટેક્સટાઈલ ઉદ્યોગ પર થવાની શક્યતા છે. કંપની બે સ્લેબ પ્રમાણે દર વસૂલશે. મંજૂર જથ્થાનો 80 ટકા ઉપયોગ કરાશે તો યુનિટ દીઠ 49.50 રૂપિયા લાગશે, જ્યારે તેનાથી વધુ ઉપયોગ હશે તો 85 રૂપિયા વસૂલાશે. વધુ ગેસ વાપરનાર ઉદ્યોગોને વધુ દર ચૂકવવો પડે તે રીતે વપરાશ નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. કંપનીએ વપરાશ નિયંત્રિત કરવા સ્લેબ સિસ્ટમ લાગુ કરતા હવે ઉદ્યોગોએ ઉપયોગ આયોજનબદ્ધ રીતે કરવો પડશે, નહીં તો મોઘું પડશે. આગામી સમયમાં ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે. પહેલાંથી જ માંગમાં ઘટાડો ને ખર્ચમાં વધારો જેવી પરિસ્થિતિઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, ગેસના દરમાં વધારો થતાં ખાસ કરીને ટેક્સટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગના ખર્ચમાં વધારો થશે. ડાઈંગ-પ્રિન્ટિંગ મિલોમાં ગેસનો ઉપયોગ વધુ હોવાથી પ્રોસેસિંગ ખર્ચ વધશે અને તેની સીધી અસર તૈયાર કાપડના ભાવ પર પડી શકે છે. પહેલાંથી જ માંગમાં ઘટાડો અને ખર્ચમાં વધારા જેવી પરિસ્થિતિ વચ્ચે હવે ગેસના નવા સ્લેબના કારણે ઉદ્યોગ પર વધારાનું આર્થિક ભારણ આવશે તેવી ઉદ્યોગકારોને ચિંતા સતાવી રહી છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકેવધુ ગેસ વાપરનાર ઉદ્યોગોનો ખર્ચ વધશે. ટેક્સટાઈલ પ્રોસેસિંગ, ટાઈલ્સ ઉદ્યોગ પર સૌથી વધુ અસર. તૈયાર માલ મોંઘો થઈ શકે ઉદ્યોગોની સંખ્યા અને દૈનિક ગેસ વપરાશનો અંદાજ સુરતમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ, કેમિકલ, એન્જિનિયરિંગ, જ્યારે અન્ય શહેરોમાં કેમિકલ, એન્જિનિયરિંગ, ટાઈલ્સમાં ઉપયોગ.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:15 am

સિટી એન્કર:ડાયમંડ બુર્સમાં 23મીથી પહેલીવાર રફનું વ્યૂઈંગ, દુબઈની ટોપ-3 કંપનીઓ એપ્રિલ મહિના સુધી સુરતના વેપારીઓને રફ દેખાડશે

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ડાયમંડ બુર્સ ખાતે 23 માર્ચથી દુબઈની સ્ટાર જેમ્સ કંપનીના રફ ડાયમંડનું પ્રી-ઓક્શન વ્યૂઈંગ શરૂ કરશે, જે 27 માર્ચ સુધી ચાલશે અને ત્યારબાદ ઓનલાઈન ટેન્ડરિંગથી ઓક્શન યોજાશે. આ સિવાય 3 કંપનીઓ એપ્રિલ સુધી રફ દેખાડશે. ઇવેન્ટમાં દેશ-વિદેશના ડાયમંડ વેપારી જોડાશે. આ વ્યૂઈંગનું આયોજન જીજેઈપીસીએ ટાવર-B, ઓફિસ નં. B-201 ખાતે કર્યું છે. પ્રી-ઓક્શન વ્યૂઈંગ દરમિયાન બાયર્સને રફ ડાયમંડને નજીકથી નિરીક્ષણ કરવાની તક મળશે, જેથી વેપારીઓ પારદર્શિતા સાથે વેપાર કરી શકશે. ત્રણેય નામાંકિત કંપની જોડાશેદુબઈમાં રફનું વેચતી ટોપ 3 કંપની સુરતમાં રફનું વ્યૂઈંગ કરશે, જેથી સુરતના નાના હીરા વેપારીઓને સીધો લાભ મળશે.’ > જયંતી સાવલિયા, ચેરમેન, જીજેઇપીસી હવે વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ-ઓક્શનસુરત ડાયમંડ બુર્સ હવે માત્ર લોકલ ટ્રેડિંગ હબ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ડાયમંડ ટ્રેડિંગ અને ઓક્શન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે.’ > લાલજી પટેલ, વાઇસ ચેરમેન, એસડીબી દુબઈ-બેલ્જિયમ જવું નાના હીરા વેપારીઓ માટે ખર્ચાળ હતું, હવે સીધો લાભ મળશેઅત્યાર સુધી રફનું વ્યૂઈંગ દુબઈ અને બેલ્જિયમ ખાતે થતું હતું. નાના વેપારીઓ માટે વિદેશગમન ખર્ચાળ હોવાથી તેઓ સીધા ખરીદીમાં ભાગ લઈ શકતા નહોતા. વિદેશ પ્રવાસ, વિઝા, રહેવા-જમવાના અને ટ્રાવેલ ખર્ચના કારણે નાના વેપારીઓ રફ માર્કેટથી દૂર રહેતા હતા. હવે સુરત ડાયમંડ બુર્સ ખાતે જ વ્યૂઈંગ થવાથી નાના વેપારીઓ સીધા હીરા જોઈને ખરીદી માટે ભાગ લઈ શકશે. ટ્રાવેલ ખર્ચ બચશે અને વધુ નાના વેપારીઓ રફ માર્કેટમાં પ્રવેશી શકશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:12 am

યુવકે જીવન ટૂંકાવ્યું:ધોરણ 12ની પરીક્ષાના પરિણામ પૂર્વે નાપાસ થવાના ભયે યુવકનો આપઘાત

રાજકોટ શહેરમાં બોર્ડ પરીક્ષાના પરિણામ પહેલાં જ વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવનો ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. મવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટીમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 20 વર્ષીય યુવકે ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ ગુમસૂમ રહેતા યુવકે અચાનક આત્મઘાતી પગલું ભરી લેતા માતા-પિતા પર આભ ફાટી પડ્યું, બનાવથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મવડી મેઇન રોડ, શ્રીનાથજી સોસાયટી શેરી નં.2માં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા મીત મોહનભાઈ માવલા(ઉં.વ.20) નામના યુવકે રવિવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારે યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર લીધા પૂર્વે જ યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જણાવતા જમાદાર ઓગણિયા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે મૃતક યુવાનના પિતા મોહનભાઈએ જણાવ્યા અનુસાર, મારો પુત્ર મીત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ તેણે બોર્ડની પરીક્ષા પણ આપી હતી. પરીક્ષા આપ્યા બાદ દીકરો સતત ચિંતામાં અને ગુમસૂમ રહેતો હતો. કારણ પૂછવા છતાંય ખૂલીને કંઈ જ જણાવતો નહોતો. પરિણામ પૂર્વે તણાવ: વિદ્યાર્થીઓમાં વધતી ચિંતા ચિંતાજનકબોર્ડ પરીક્ષાના પરિણામ પહેલાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવના બનાવો વધી રહ્યા છે. નિષ્ણાતો મુજબ, નિષ્ફળતાનો ભય અને અપેક્ષાનો ભાર વિદ્યાર્થીઓને અંદરથી દબાવી દે છે. આવી સ્થિતિમાં પરિવારજનોએ બાળકો સાથે ખૂલીને વાતચીત કરવી અને તેમની ભાવનાઓ સમજવી અત્યંત જરૂરી બની રહે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:07 am

કિટીપરા આવાસમાં બનેલી હુમલાની ઘટના:પાડોશીને ટપારવા ગયેલા બે ભાઈઓ પર જીવલેણ હુમલો

રાજકોટના કિટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણિયા (ઉ.વ. 47) અને તેમના પાડોશી નાનજીભાઈ કંટોણિયા વચ્ચે કેબલ વાયર બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. દરમિયાન રવિવારે સવારે અંદાજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આકાશે ફરી કેબલ વાયર કાપી નાખતા જીતુભાઈ આ બાબતે ફરિયાદ કરવા પાડોશીના ઘરે ગયા હતા. ત્યાં બોલાચાલી દરમિયાન આકાશ ઉશ્કેરાઈ જતા તેણે હાથમાં રાખેલી છરી વડે જીતુભાઈના માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે જીતુભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જીતુભાઈના દિયર અજીતભાઈ ભીખુભાઈ કંટોણિયા(ઉ.વ.45) તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ ઘટનાની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી આકાશે પાછળથી તેમના પીઠના ભાગે પણ છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ પિતા-પુત્ર બંને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પરિવારજનોએ તરત જ બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:06 am

દારૂ ઝડપાયો:આણંદપર (બાઘી)ની સીમમાંથી 21.60 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ નજીક આવેલા આણંદપર (બાઘી) ગામની સીમમાં ખેતરમાં ખાડો કરી છુપાવેલ 21.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 4320 બોટલ દારૂ કબજે કરી ફરાર આરોપી મોન્ટુ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. સામુદ્રે તથા તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પો.કોન્સ. ભાવેશ મકવાણા અને કુશલ જોશીને બાતમી મળી હતી કે, આણંદપર (બાઘી) ગામના તળાવ પાસે આવેલી બિપીનચંદ્ર મેઘજીભાઈ રાઠોડની વાડીમાં જે મોન્ટુ નામના શખ્સે વાવવા રાખેલી છે, ત્યાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીના ખૂણામાં જમીનમાં એક મોટો ખાડો કરેલો જોવા મળ્યો હતો. આ ખાડા પર કાળા રંગની પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ખાડામાં તપાસ કરતા કુલ 360 પેટીઓ અને બોટલ નંગ 4320નો રૂ.21.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન વાડીમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે વાડી વાવવા રાખનાર આરોપી મોન્ટુ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:05 am

ઇશ્વરિયામાં ત્રિવેણી સમારોહનો પ્રારંભ:સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજિક સંમેલનો યોજીને કુરિવાજો, દેખાદેખીને તિલાંજલિ આપવા ઉમિયાધામના પ્રમુખની ઘોષણા

રાજકોટમાં ઇશ્વરિયા ખાતે ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ ‘જીવન વિદ્યાપીઠ’નું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે 26મીએ તેનું ભૂમિપૂજન યોજાશે. આ તકે ત્રિવેણી સમારોહનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં પ્રથમ દિવસે સામાજિક સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજિક સંમેલનો યોજીને 780થી વધુ ગામને જોડવાની અને સમાજમાં વ્યાપેલા કુરિવાજો તેમજ દેખાદેખીને તિલાંજલિ આપવાની ઘોષણા કરી છે. રાજકોટના વોર્ડ વાઇઝ 30,000થી વધુ લોકો માટે સમૂહ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. 20 કરોડથી વધુના દાનની જાહેરાતઆ મહોત્સવ દરમિયાન ઇશ્વરિયા ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર થનારા શૈક્ષણિક પ્રોજેક્ટ માટે દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહ્યો હતો. જેમાં ઓડિટોરિયમ માટે 12.51 કરોડ, ઉમિયાધામના પ્રમુખે 3.11 કરોડ, અન્ય પરિવારે સ્પોર્ટ્સ સંકુલ માટે 3.11 કરોડ આપ્યા છે. વૈશ્નાણી અને કોટડિયા પરિવારે 1.11 કરોડનું દાન, અન્ય સાત જેટલા યુવા ઉદ્યોગપતિઓએ 25-25 લાખનું દાન આપીને ટ્રસ્ટી તરીકે સેવા આપવાની નેમ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

ગાંધીનગર બનશે ડસ્ટ ફ્રી સિટી:સેક્ટર 1થી 30માં ઉડતી ધૂળથી છૂટકારો મળશે; પ્રથમ તબક્કે 'ઘ', 'ચ' અને 'છ' રોડને આધુનિક પદ્ધતિથી ડસ્ટ-ફ્રી કરાશે

ગુજરાતના પાટનગર અને હરિયાળા શહેર તરીકે જાણીતા ગાંધીનગરના ગૌરવમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર 1થી 30ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે પ્રથમ તબક્કે ઘ, ચ, છ, ખ, ગ એમ આડા અને ઊભા રસ્તાઓને બ્લોકિંગ-બ્યુઇટિફિકેશન કરીને ડસ્ટ ફ્રી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની પણ લીલી ઝંડીગાંધીનગર મનપાના બજેટમાં શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોને ડસ્ટ-ફ્રી કરવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પણ લીલી ઝંડી આપી દીધી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની આસપાસ જામતી માટીને રોકીને પ્રદૂષણ ઘટાડવાનો અને શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે. રોડની બંને બાજુએ બ્યુટિફિકેશન, પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનની શરૂઆત શહેરના મુખ્ય ધમધમતા માર્ગોથી કરવામાં આવશે. જેમાં ઘ ,ચ , છ , ખ, અને જ રોડ એટલે કે આડા ઊભા રસ્તાઓનું પેવર બ્લોક બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ત્રણ મુખ્ય રોડ અને તેને જોડતા સેક્ટરોના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અહીં રોડની બંને બાજુએ પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન કરીને ખુલ્લી માટીને ઢાંકી દેવામાં આવશે, જેથી પવન કે વાહનોની અવરજવરથી ધૂળ ન ઉડે. અત્યાધુનિક ટેકનોલોજી ને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડસ્ટ-ફ્રી પ્રોજેક્ટ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રોડ અને ફૂટપાથ વચ્ચેની જે જગ્યા ખાલી હોય છે, ત્યાં બ્લોક્સ નાખવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં નાની ક્યારીઓ બનાવીને છોડ રોપવામાં આવશે. રિંગ રોડ આઇકોનિક ટાઇપમાં ડેવલપ થશેવધુમાં, રોડની સફાઈ માટે અત્યાધુનિક વેક્યુમ સ્વીપર મશીનો કામે લગાવવામાં આવશે, જે ધૂળના રજકણોને હવામાં ઉડતા અટકાવશે. આ સિવાય આંતરિક માર્ગો અને રિંગ રોડને પણ આઇકોનિક ટાઇપ રીતે ડેવલપ કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડશેગાંધીનગર ડસ્ટ ફ્રી સિટી બનવાથી માત્ર સુંદરતા જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ઉડતી ધૂળને કારણે થતા શ્વાસના રોગો અને એલર્જીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકો અને વાહનચાલકોને ક્લીન એર મળશે. પહેલાં ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના હતી તે પડતી મુકાઈઉલ્લેખનીય છે કે, ગાંધીનગરને દેશનું પ્રથમ ડસ્ટ-ફ્રી સિટી બનાવવા પૂર્વ મુખ્યમંત્રી અને PM નરેન્દ્ર મોદીએ કલ્પના કરી હતી. તેનાં માટે દરેક માર્ગની સાઇડ પરની અને જાહેર સ્થળો આસપાસની ખુલ્લી જગ્યા પર સતત ભેજને જાળવી રાખીને ધૂળને શોષી લેતા ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના અમલી બનાવાઇ હતી, પરંતુ જાળવણીના મામલે આ યોજના ખર્ચાળ સાબિત થતાં પડતી મૂકી દેવામાં આવી હતી. તેના વિકલ્પે આવા સ્થળોએ પેવર બ્લોક પાથરવાનો નિર્ણય લેવાયો હતો. ફૂટપાથ ઉપરાંત ખુલ્લી રહેતી જગ્યામાં પેવર બ્લોકિંગડસ્ટ-ફ્રી સિટી કોન્સેપ્ટ અંતર્ગત સિમેન્ટ કોન્ક્રિટના સિમેન્ટ બ્લોક પાથરવાની 80-20ની ટકાવારી મુજબ ખર્ચની યોજના લોકભાગીદારીથી અમલી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓમાં સરકારના 80 ટકા અને લોકોના 20 ટકા ખર્ચ ભાગીદારીનાં ધોરણે કામ કરી આપવામાં આવે છે. આ યોજનાને વ્યાપક લોક પ્રતિસાદ પણ મળ્યો છે. હવે આ યોજના ઉપરાંત રોડની સાઇડ પર ફૂટપાથ ઉપરાંતની ખુલ્લી રહેતી જગ્યામાં પણ પેવર બ્લોકિંગ બ્યુટિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

મોરબીનો સિરામિક ઉદ્યોગ USA સહિતના દેશોનું એક્સપોર્ટ ગુમાવશે:કેન્દ્ર સરકાર ₹50 લાખ સુધીનું વળતર આપશે, 1500 સિરામિક કન્ટેનર પરત ફર્યા

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા કન્ટેનરો પરત આવતા અને શિપિંગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ સરચાર્જને કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. આ કપરા સમયમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગકારોને રાહત આપતા 50 લાખ સુધીના વળતરની જાહેરાત કરી છે. 1,500 કન્ટેનરો પરત ફર્યા, કરોડોનું નુકસાનમધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી મોરબીના અંદાજે 1,500 કન્ટેનરો પરત આવ્યા છે. શિપિંગ કંપનીઓએ આ કન્ટેનરો પર 500 થી 3,500 ડોલર સુધીનો સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ વસૂલ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતે, પ્રત્યેક કારખાનેદારને 5 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડ્યો છે. સરકારી સહાયની જાહેરાતઆ ગંભીર પરિસ્થિતિ અંગે કેપેકસીએલ (CAPEXIL) ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરિયાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી. જેના પગલે ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ 50 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આર્થિક નુકસાન વેઠી રહેલા એકમોને મોટી રાહત મળવાની આશા છે. નિકાસ બજાર પર જોખમયુદ્ધના કારણે માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, પરંતુ યુએસ સહિતના પશ્ચિમી દેશોમાં થતી નિકાસ પર પણ બ્રેક વાગી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાના જણાવ્યા અનુસાર યુદ્ધ પહેલા જે ભાડા હતા તેમાં અનેકગણો વધારો થયો છે. તોતિંગ સરચાર્જને કારણે યુએસ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીએ વૈશ્વિક માર્કેટ ગુમાવવાનો વારો આવી શકે છે. ઉદ્યોગની વર્તમાન સ્થિતિ બંધ એકમો: ગેસના ઊંચા ભાવ અને નિકાસમાં અવરોધને કારણે અંદાજે 450 જેટલા સિરામિક કારખાનાઓ હાલ બંધ હાલતમાં છે. સરચાર્જ: કન્ટેનર દીઠ 500 થી 3,500 ડોલરનો વધારાનો બોજ. ડેમરેજ: પરત આવેલા માલ પર લાખો રૂપિયાનો દંડ. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો જો લાંબી ખેંચાશે, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ટકી રહેવું મોટો પડકાર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

સાહેબ મિટિંગમાં છે:'પ્રદીપ ગુરુજી'ને બચાવવા સચિવાલયમાં બે પૂર્વ અધિકારીઓની દોડધામ!, ભાજપ નેતાઓને ST બસ ચલાવવાનો ચસકો લાગ્યો

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... વિધાનસભામાં ‘ડ્રેસ કન્ફ્યુઝન’! પોલીસ કે કેન્ટિન સ્ટાફ? સમાન યુનિફોર્મથી કોન્સ્ટેબલોમાં અંદરખાને નારાજગીવિધાનસભા સત્ર દરમિયાન જ્યાં રાજકીય ગરમાવો છે, ત્યાં અંદરખાને એક અલગ જ “ડ્રેસ ડ્રામા” ચર્ચામાં છે. સુરક્ષા માટે મુકાયેલા પોલીસ કોન્સ્ટેબલોને ખાસ ડ્રેસ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે, પરંતુ આ ડ્રેસનો કલર અને ડિઝાઇન એ જ છે જે વિધાનસભાની અમૂલ કેન્ટિનના કર્મચારીઓ પહેરે છે. પરિણામે, એક જ નજરમાં પોલીસ અને કેન્ટિન સ્ટાફ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની રહ્યો છે. સૂત્રો મુજબ, ઘણા કોન્સ્ટેબલો આ બાબતે અસંતોષ અનુભવી રહ્યા છે, પરંતુ સરકારી નોકરીના દબાણને કારણે ખુલ્લેઆમ કંઈ કહી શકતા નથી. અંદરખાને તો મજાકમાં “ડ્યુટી પર છીએ કે કેન્ટિનમાં?” જેવી ટિપ્પણીઓ પણ ચાલી રહી છે. સત્તાવાર રીતે કોઈ ફરિયાદ સામે આવી નથી, પરંતુ આ ‘ડ્રેસ કન્ફ્યુઝન’ વિધાનસભા પરિસરમાં ગોસીપનો ગરમ મુદ્દો બની ગયો છે. જોટંગીયા કેસમાં બચાવની દોડધામ તેજ, સચિવાલયમાં અંદરખાને હરકતપ્રદીપ જોટંગીયા ઉર્ફે ‘પ્રદીપ ગુરુજી’ની ધરપકડ બાદ કેસ હવે માત્ર પોલીસ તપાસ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સચિવાલય સુધી તેની અસર પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બે વગદાર પૂર્વ અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી સચિવાલયની અલગ-અલગ ઓફિસોમાં જઈ રહ્યા છે અને જોટંગીયાની તરફેણમાં વાતો કરી રહ્યા છે. તેઓ દ્વારા જોટંગીયા નિર્દોષ છે અને સમગ્ર ગુનામાં તેમની સીધી સંડોવણી નથી એવી દલીલો આગળ ધપાવવામાં આવી રહી છે. સાથે જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચીને ભલામણ કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંદરખાને હલચલને કારણે કેસ વધુ ચર્ચામાં આવી ગયો છે અને હવે લોકોમાં પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આખરે આ બચાવની દોડધામ પાછળ શું કારણ છે. સંઘવીના ગુસ્સા બાદ સચિવાલયમાં સુરક્ષા ટાઈટ, હવે ઓફિસમાં એન્ટ્રી પહેલા કડક ચેકિંગ!નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરી બહાર થોડા દિવસ પહેલાં યુવકના આત્મહત્યા પ્રયાસ બાદ સચિવાલયમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાસ કરીને ચેકિંગની ઢીલાશ મુદ્દે ખખડાવ્યા હતા. હવે હાલત એવી છે કે તેમની ઓફિસમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું કડક બોડી ચેકિંગ કર્યા વગર અંદર પ્રવેશ મળતો નથી. માત્ર એટલું જ નહીં, સંઘવીના ગુસ્સા બાદ સ્વર્ણિમ સંકુલ-1 અને 2 બંને પરિસરમાં સુરક્ષા પણ ટાઈટ કરી દેવામાં આવી છે, જેને લઈને સચિવાલયમાં ‘હવે તો કોઈ ભૂલની ગુંજાઈશ નથી’ તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. એક IASએ ખાનગી કન્સલ્ટન્ટ એજન્સી હોવા છત્તા બીજી એજન્સીને રાતોરાત નીમી દીધી અને ટેન્ડરોના કામો પણ આપી દીધાગુજરાત સરકારમાં થોડો સમય પહેલા જ બદલી થયેલા એક અધિકારી તેની બદલીના સમયથી જ વિવાદમાં રહેતા આવ્યા છે. જૂની જગ્યા પર પોતાના એટીટ્યુડને કારણે તેમજ માનીતી કંપનીઓ-એજન્સીઓની ફેવર કરવાને કારણે હકાલપટ્ટી થઈ હતી. હવે નવા પોસ્ટિંગ ઉપર પણ તેઓએ પોતાની કળાગીરી કરવાનુ શરુ કરી દીધુ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આ અધિકારી નવી જગ્યાએ ગયા ત્યારે અધિકારીઓ પાસેથી પ્રેઝન્ટેશનો લીધા હતા. જેમા તેમને ખ્યાલ આવ્યો કે, બેથી ત્રણ ટેન્ડરોનુ કામ હવે પૂરું થવામાં છે. હૈયાત એક કનસલ્ટીંગ કંપની આ ટેન્ડરોના કામો કરી રહી હતી.આમ છત્તા આ અધિકારીએ રાતોરાત જ અન્ય એક ખાનગી કન્સલ્ટીંગ એજન્સીને કામ આપી દીધુ હતુ એટલુ જ નહી, અધુરા ટેન્ડરના જે કામો હતા તેને પૂરુ કરવાની જવાબદારી પણ સોંપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈયાત કનસલ્ટીંગ એજન્સી સામે કોઈ વાંધો-વિરોધ કે ફરિયાદ નહોતી. પરંતુ અધિકારીએ પોતાની મનમાની કરીને આ એજન્સીને સાઈડલાઈન કરીને પોતાના આર્થિક સ્વાર્થ માટે સરકાર ઉપર વધુ નાણા બોજ ઝીંકી દીધો છે. આંગણવાડીની બહેનો ભલે આંદોલન-ઉપવાસ કરે, IAS અધિકારીના પેટનુ પાણી હલતુ નથીછેલ્લા ઘણા સમયથી પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલી આશાવર્કર બહેનો માટે તંત્રને કોઈ જ પ્રકારની લાગણી કે સન્માન હોય તેવુ લાગતુ નથી. મહિલાઓના અધિકારોની મોટી વાતો કરી રહેલા રાજકીય નેતાઓ પણ બ્યુરોક્રેટ્સના ઈશારે નાચી રહ્યા છે.વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યુ છે તેવા સમયે જ બહેનોએ ત્રણ દિવસનુ આંદોલન પણ કર્યુ હતુ. આમ છત્તા કોઈએ તેને ધ્યાનમાં લીધુ નથી. હવે બહેનોએ ચેતવણી આપી છે કે, સોમવારે અમે વિધાનસભાનો ઘેરોવો કરીશુ. આ તબક્કે આમ આદમી પાર્ટી પણ બહેનોની વહારે આવી છે. બહેનોની લડતમાં હવે આમ આદમી પાર્ટી પણ પોતાનુ સમર્થન આપી રહી છે. બીજી બાજુ ઉચ્ચ અધિકારીઓ વાસ્તવમાં તો ડરપોક છે. બહેનોની ચીમકીને પગલે મીટીંગોનો ધમધમાટ કર્યો હતો. ટોંચના પોલીસ ઓફિસરોએ ખાતરી આપી છે કે, બહેનોના આ કાર્યક્રમને અમે સફળ થવા દઈશુ નહી. બહેનોની લાગણી છે કે, હવે મુખ્યમંત્રીએ જ રસ લઈને ટોચના અધિકારીઓને આદેશ આપીને અમારી સમસ્યાને દૂર કરવા કહેવુ જોઈએ. જે ધારાસભ્ય પોતાની કાર જાતે ચલાવતા નથી તેને ST ચલાવવાનો શોખ જાગ્યો!રાજકારણમાં જોડાયેલા નેતાઓએ પોતાની પદ અને પ્રતિષ્ઠા માટે ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં ઢળી જવું પડે એવું છે જે ધારાસભ્યો એસી ગાડીમાં બેસી અને ડ્રાઇવર રાખીને ગાંધીનગર આવતા જતા હોય છે એવા ધારાસભ્યો હવે એસટી બસ ચલાવતા થઈ ગયા છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યો એસટી બસ ચલાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જે ધારાસભ્યો ગાંધીનગર સુધી આવવા માટે ડ્રાઇવરને લઈને ગાડીમાં આવતા હોય એવા ધારાસભ્યો હવે બસોની લીલીઝંડી આપી અને પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી રહ્યા છે. ભાજપના કાર્યકરોમાં ચર્ચા છે કે, જે સાહેબ ગાડી પોતે ચલાવીને આવતા નથી એવા ધારાસભ્યોને હવે એસટી બસ ચલાવવાના શોખ જાગ્યા છે. અગાઉ પણ એક બે ધારાસભ્ય એસટી બસ ચલાવતા જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્યો માટે હવે અલગથી એક એસટી રાખવી પડે તો પણ નવાઈ નહીં. અધિકારીઓની અછત વચ્ચે ચૂંટણી ડ્યુટી, છેલ્લી ઘડીએ ચાર અધિકારીને મુક્તિ મળતા ચર્ચાચૂંટણી ડ્યુટીમાંથી ચાર અધિકારીઓને છેલ્લી ઘડીએ મળેલી મુક્તિએ સચિવાલયના કોરિડોરમાં નવી ચર્ચાઓ જગાવી દીધી છે. “સ્પેશિયલ કેસ”ના બહાને કેટલાક અધિકારીઓને રાહત મળી જાય અને બાકીના હજુ પણ બહાર રાજ્યોમાં ફરજ બજાવે—તે મુદ્દે અંદરખાને ચર્ચાઓ ગરમ છે. એક તરફ રાજ્યમાં IAS અધિકારીઓની અછત અને બીજી તરફ મહત્વના વિભાગો ‘વધારાના ચાર્જ’ પર ચાલતા હોવાને કારણે કામકાજ ધીમું પડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે આ મુક્તિઓ ખરેખર જરૂરિયાતના આધારે છે કે પછી ‘સેટિંગ’નું પરિણામ, આ ગૂંચવણ વચ્ચે સચિવાલયમાં ગોસીપને નવું ઈંધણ મળી ગયું છે. યુવા મોરચાના હોદેદારે પોતાનો જ સ્વાગત કાર્યક્રમ ગોઠવી દીધોભાજપના સંગઠનમાં પ્રમુખ અને મહામંત્રી મહત્વના હોદ્દા હોય છે. જોકે તાજેતરમાં જ અમદાવાદના યુવા મોરચામાં એક હોદ્દેદારનો દબદબો જોવા મળ્યો હતો. વારસાગત રીતે રાજકારણમાં પ્રવેશેલા અને હોદ્દો મેળવવામાં સફળ રહેલા હોદ્દેદારે પોતાના સ્વાગત કાર્યક્રમમાં પ્રમુખ અને મહામંત્રી સહિત આખી ટીમને રાહ જોવડાવી ઉભા રાખ્યા હતા. યુવા મોરચાના હોદ્દેદારે તાજેતરમાં જ પોતાનો હોદ્દો સંભાળ્યો હતો ત્યારે ફટાકડા ફોડવાથી લઈ અને મોંઘી લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા જેમનું સ્વાગત કરવા માટે ખુદ અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ અદબ વાળીને તેમની રાહ જોઈ રહ્યા હતા જ્યારે એક મહામંત્રી હાથમાં ફૂલહાર લઈને તેમનું સ્વાગત કરવા માટે ઉભા રહ્યા હતા. આજ હોદેદારના હોદ્દા પ્રમાણે બીજા પાંચથી છ હોદ્દેદારો પણ છે પરંતુ આ એક નેતાનો એવો દબદબો હતો કે, તેમણે પોતે પોતાનો સ્વાગત કાર્યક્રમ ગોઠવી દીધો હતો જેમાં પ્રમુખને પણ રાહ જોવડાવીએ ઉભા રાખ્યા અને સ્વાગત કરી પ્રમુખ ખુદ તેમને લેવા ગયા હતા. યુવા મોરચામાં માત્ર હોદ્દાઓ હોય છે પરંતુ દબદબો તો આ નેતાના વારસાગત રાજકારણમાં મોટા નેતાઓના ઝભ્ભા પકડીને ચાલનારા જ નેતાનો ચાલી રહ્યો છે. AMCના કાર્યક્રમમાં ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે 'અંતર' વધ્યુંરાજ્યમાં મોટાભાગની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ટર્મ પૂરી થઈ ચૂકી છે અને હવે કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો તરીકે ઓળખાતા થઈ ગયા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના એક વિધાનસભા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં ધારાસભ્યની આજુબાજુ પૂર્વ કોર્પોરેટરો નહીં પરંતુ સંગઠનના નેતાઓ ગોઠવાઈ ગયા હતા. ધારાસભ્યની બાજુમાં સંગઠનના હોદ્દેદારને બેસાડવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેટરો ધારાસભ્યની આજુબાજુ ગોઠવાયેલા સંગઠનના હોદ્દેદારો પછી બેઠા હતા. કોર્પોરેટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરીને પોતે કામ મંજૂર કરાવી બાદમાં હવે ધારાસભ્યના હાથે ખાતમુહુર્ત કરાવ્યું હતું. જોકે ધારાસભ્યની બાજુમાં કોર્પોરેટરો એ પોતે જ નામ આપીને સંગઠનના હોદ્દેદારો બનાવેલા હોદ્દેદારો જ ગોઠવાઈ ગયા હતા. જેથી હાથના કર્યા હૈયે વાગ્યા એવી સ્થિતિ પૂર્વ કોર્પોરેટરો માટે ઊભી થઈ હતી. એક સમયે ધારાસભ્યની બાજુમાં ઉભેલા હવે બે થી ત્રણ હોદ્દેદાર પછી બેસવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. કાર્યકર્તાઓમાં એક જ ચર્ચા- 'ગરમી વધે તે પહેલા ચૂંટણી પતી જાય તો સારું'રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરવાનો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ નથી ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાઓમાં ચૂંટણી હવે ક્યારે આવશે એની ચર્ચા ખૂબ જોરશોરથી થઈ રહી છે. માત્ર રાજકીય નેતાઓમાં જ નહીં પરંતુ IAS, IPS અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં પણ ચર્ચા છે કે હવે ચૂંટણી ક્યારે જાહેર થશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વહીવટદાર શાસન લાગુ થઈ ગયા છે. પરંતુ ચૂંટણી ક્યારે કરવી એ હજી સુધી નક્કી નથી આગામી દિવસોમાં ઉનાળાનો સમય આવી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓમાં મત આપવા લોકો આવશે કે નહીં ચિંતા અત્યારથી જ થઈ રહી છે. ખાસ કરીને મતદાનમાં કોઈને રસ હોતો નથી ત્યારે જો 40 ડિગ્રીથી વધારે ગરમીમાં ચૂંટણી યોજાશે તો મતદાન ઓછું થશે અને પાર્ટીના નેતાઓને ખૂબ મહેનત કરવી પડશે ત્યારે હવે જલ્દીથી ઓછી ગરમીમાં જો ચૂંટણી થાય તો ફાયદો થાય પરંતુ રાજ્યનું ચૂંટણી પંચ ક્યારેય ચૂંટણી જાહેર કરશે એના પર સસ્પેન્સ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે:અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓ માટે લડતા લોકો અને NGO સાથે વડોદરામાં સંવાદ કરશે

ગુજરાતામં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. ત્યારે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે (23 માર્ચ 2026) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે વડોદરામાં સંવાદ કરશે. આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા કરશેકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 1500થી વધુ આગેવાનો જોડાય તેવી શકયતા છે. આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે. 'ગુજરાતના આદિવાસીઓ સાથે ઓરમાયા વર્તનનો આક્ષેપ'કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે પણ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. વિકાસ માટે બજેટમાં પણ મોટો ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસીના નામે બજેટ ફાળવાય છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકો લડત આપી રહ્યા છે. આ સમાજ હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે. સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધી દિલ્હી રવાના થશેકોંગ્રેસના સીધા સંવાદમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ મારફતે સીધા દિલ્હી રવાના થશે. તેઓનો આ એક દિવસનો ગુજરાતનો કાર્યક્રમ આદિવાસીઓ માટે લડત આપી રહેલા લોકોમાં જુસ્સાનો નવો સંચાર કરશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

એશિયાના બીજા નંબરના ગુંબજનું 6 કરોડના ખર્ચે રિસ્ટોરેશન, ડ્રોન વીડિયો:MSU આર્ટ્સ બિલ્ડિગનું બેલ્જિયમ ગ્લાસ ને રાજસ્થાની કલરથી રંગરોગાન, 5 રાજ્યના 100 કારીગરોની 5 લાખ કલાકની મહેનત

સંસ્કારી અને કલા નગરી સાથે શિક્ષણ નગરી તરીકે વડોદરા શહેર વિશ્વભરમાં જાણીતું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) આજે વિશ્વ ફલક પર પોતાની નામના મેળવી ચૂકી છે, ત્યારે યુનિવર્સિટીની ઐતિસાહિસ ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડિંગના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. જેના માટે બેલ્જિયમથી ખાસ ગ્લાસ મંગાવાયા, જ્યારે જર્મન ટાઈલસની આબેહૂબ ડિઝાઈન મુંબઇમાં તૈયાર કરાઈ હતી. આ ઉપરાંત રિસ્ટોરેશનના કામમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી તેના બદલે ખાસ કરીને ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડનો ઉપયોગ કરાયો હતો. જ્યારે ઇમારતમાં વપરાયેલા લાકડાં ખરાબ ન થાય તે માટે બેલ્જિયમથી મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટર મંગાવાયું હતું. પાંચ રાજ્યના 100 કારીગરોની 5 લાખ કલાકની મહેતન1 ઓગસ્ટ 2023થી MSUના આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં અલગ અલગ રિસ્ટોરેશન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે પાંચ રાજ્યના કારીગરો દ્વારા કામ કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર (મુંબઇ)ના 100થી વધુ કારીગરોએ 5 લાખ કલાકની ભારે મહેનત બાદ આબેહૂબ કામગીરી કરી હતી. આ માટે અંદાજિત 6 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 1880માં 8 લાખના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરાઈ હતીઆ અંગે MSUના પ્રોફેસર હિતેશ રવિયાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ વર્ષ 1880માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખના ખર્ચે તૈયાર કરાવી હતી. આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના બાદ વર્ષ 1881માં બરોડા કોલેજની શરૂઆત કરાઈ હતી. 145 વર્ષ પછી આજે પણ આ ઇમારત અડીખમ ઊભી છે. જોકે, ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી એનું મેન્ટેનન્સ કરવું જરૂરી હતું. આ ઐતિહાસિક ગુંબજ બે લેયરમાં બનાવાયો છે. ઉપર અને અંદરના મોટા ડોમ વચ્ચે 1 મીટરની જગ્યા છે. આ ડોમમાં ડેમેજ અને ક્રેક હોવાથી તે રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. ગુંબજ હવે ફરીથી ખરાબ ન થાય એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. સિમેન્ટના ઉપયોગ વગર રિસ્ટોરેશનની કામગીરી કરાઈસવાણી ગ્રુપના પ્રોજેક્ટ મેનેજર યશ સોનીએ જણાવ્યું હતું કે, આ એશિયાનો બીજા નંબરનો સૌથી ઊંચો ગુંબજ છે. અહીં 9 જેટલા ગુંબજ છે, જેમાંથી એક મુખ્ય ગુંબજ છે. આ ગુંબજના રિસ્ટોરેશન માટે ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કામગીરી માટે ખાસ કરીને ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુંબજમાં પડેલી ક્રેકને હોટ લાઈમ ગ્રાઉટિંગ તથા એસ.એસ. પીન દ્વારા રિપેર કરવામાં આવ્યા બાદ ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડના મિશ્રણનો ઉપયોગ કરી ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. ગુંબજના પેઇન્ટિંગ બાદ વોટર રિપેલન્ટ કોટ (વરસાદનું પાણી તેના પર ટકશે નહીં) લગાવવામાં આવ્યું છે. આખા ગુંબજને પાંચ લેયરથી તૈયાર કરાયો છે. બેલ્જિયમથી ખાસ ગ્લાસ મંગાવવામાં આવ્યાઆ સાથે ખાસ કરીને આર્ટ્સ ફેકલ્ટી બિલ્ડિંગમાં જર્મન ટાઈલ્સ અને બેલ્જિયમ ગ્લાસનો ઉપયોગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તે સમયે કરવામાં આવ્યો હતો. જર્મન ટાઈલ્સ જે આજે મળવી શક્ય નહોતી જેથી તેની આબેહૂબ ડિઝાઈન મુંબઇમાં તૈયાર કરાઈ હતી, જ્યારે બિલ્ડિંગમાં વાપરવામાં આવેલા ગ્લાસ ખાસ બેલ્જિયમથી મંગાવવામાં આવ્યા હતા. આ સાથે બહારની આખી દીવાલ વોટરપ્રૂફ બનાવવામાં આવી છે. જો તમે એક ગ્લાસ ભરીને પાણી નાખશો તો ત્યાં પાણી ટકશે નહીં કે સોસાશે નહીં. આ બિલ્ડિંગમાં જે જગ્યાએ લાકડાં વાપરવામાં આવ્યા છે તેને પ્રોટેક્ટ કરવા માટે બેલ્જિયમથી ખાસ મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટર મંગાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને પુન:જીવિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. કમળની કળી જેવી ગુંબજની ડિઝાઈનઆ ઐતિહાસિક ગુંબજની ડિઝાઈન કમળથી પ્રેરિત છે. કમળની કળી જે રીતે ખીલતી હોય એ પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઈનમાં 8 ખૂણા છે. અંદરના ભાગની પેટર્નની ગોળાકાર ડિઝાઈનમાં પણ મુખ્ય વર્તૃળની ફરતે આઠ વર્તૃળ મૂકવામાં આવ્યા છે. ઇન્ડો આર્સેનિક શૈલીના આ બાંધકામમાં અંદરના ભાગે વોલ પેઇન્ટિંગ્સ ટેમ્પેરા ટેકનિકથી કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિશાળ ગુંબજની કલ્પના આર્કિટેક્ટ રૉબર્ટ ફેલોસ ચિસોમેએ તૈયાર કરી હતી. આ ગુંબજને હેરિટેજ વોકનાં સ્થળોની યાદીમાં સ્થાન અપાયું છે. ગુંબજની 3-4 વર્ષે સાફ સફાઈ કરાવવી ખૂબ જરૂરીવડોદરામાં પોલ્યુશન અને કેમ્પસ સામે મેન રોડ હોવાથી આ ગુંબજ કાળો પડવાની શક્યતાઓ વધારે છે, ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, યુનિવર્સિટી તંત્રએ આ ગુંબજની આજ પ્રકારે જાળવણી રાખવી હોય તો ત્રણ-ચાર વર્ષે સાફ સફાઈ કરાવવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેની સ્થિતિ બગડી શકે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

‘જુગાર’ બોલ્યા ને મંત્રીજીની ગેમ થઈ ગઈ:વ્લોગરે ઈટાલિયાને ટેક્નોલોજી બતાવી ટોણો માર્યો; રાજનીતિના ‘હેવી ડ્રાઈવરોએ’ STનું સ્ટિયરિંગ ઝાલ્યું

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 6:00 am

રોજ 1.74 કરોડ લિટર પાણી શુદ્ધ કરી શકાશે:રાજકોટના પૂર્વ ઝોનની ગંદા પાણીની સમસ્યા દૂર કરવા રૂ.39.49 કરોડના ખર્ચે પ્લાન્ટ બનશે

શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણીના યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.39.49 કરોડના ખર્ચે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ 1.74 કરોડ લિટર(17.40 M/ld) ગંદા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટ પૂર્વ વિસ્તારની ડ્રેનેજ લાઈનો પરનું ભારણ ઘટાડશે અને ગંદા પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરશે. આ સુવિધાના સંચાલન માટે પાલિકાએ 5 વર્ષ સુધી નિષ્ણાત એજન્સીની દેખરેખ હેઠળ કામ ચલાવવાનું નક્કી કર્યું છે. જેનાથી મનપા પાસે રિટ્રીટ વોટરની ક્ષમતા અને જથ્થામાં વધારો થશે અને પૂર્વ ઝોનની ગંદા પાણીની સમસ્યામાં પણ રાહત થશે. પાણી શુદ્ધ કરવાની સિક્વન્સિયલ બેચ રિએક્ટર પદ્ધતિ આ રીતે કામ કરે છેગંદા પાણીને પાંચ અલગ-અલગ તબક્કામાં એક જ ટેન્કમાં શુદ્ધ કરવામાં આવે છે. પાણીમાં હવા(ઓક્સિજન) ઉમેરાય છે જેથી કુદરતી બેક્ટેરિયાનો વિકાસ થશે અને તે અશુદ્ધિઓ ખાઈ જાય છે. થોડા જ કલાકોમાં પાણીની ગંદકી(ઓર્ગેનિક મેટર) ખાઈ જતા બેક્ટેરિયાની એક સ્લરી કે કાદવ બને છે જે તળિયે બેસી જાય છે અને ઉપર પાણી રહે છે. કાદવ સુધીના પાણીને બીજા ટેન્કમાં મૂકી સ્લરીનો ઉપયોગ બેક્ટેરિયાના કાચા માલ તરીકે આગળના પાણીના નવા જથ્થામાં ઉમેરી આ પ્રક્રિયા રિપીટ કરાય છે. આ પદ્ધતિમાં પાણી શુદ્ધ થાય છે કે તે ફરીથી અન્ય કામો જેવા કે કન્સ્ટ્રક્શન અને ગાર્ડનિંગમાં વાપરવા માટે યોગ્ય બને છે. પર્યાવરણને કેવો થશે ફાયદો

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:59 am

રાજકોટમાં ગરમી ગિયર બદલશે:3-4 દિવસમાં પારો 40 ડિગ્રીએ પહોંચી જશે

કુદરત અત્યારે જાણે બે વિરોધાભાસી મિજાજ બતાવી રહી છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદના રૂપે થયેલી ‘મેઘવર્ષા’ એ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, પરંતુ હવે સ્થિતિ પલટાઈ રહી છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં તેની ગુજરાત પરની અસર શૂન્ય થઈ છે. પરિણામે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે ‘અગનવર્ષા’ની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 3-4 દિવસમાં રાજકોટનું તાપમાન ફરી 40 ડિગ્રીની સપાટીને આંબી જાય તેવી પ્રબળ શક્યતા છે. રવિવારે રાજકોટનું લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે હવે આકાશ ચોખ્ખું થતા અને ભેજનું પ્રમાણ ઘટતા સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. આગામી 48 કલાકમાં જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તોતિંગ વધારો નોંધાશે. જે બાદ તાપમાન સ્થિર થશે, પરંતુ ગરમીનો અહેસાસ વધતો રહેશે. ખેડૂતો માટે રાહતના સમાચાર, વરસાદની શક્યતા ‘નહિવત’જગતના તાત માટે આ અઠવાડિયું રાહતભર્યું રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સાત દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે, એટલે કે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. માવઠાના ડરથી ફફડતા ખેડૂતો હવે પોતાનો પાક સુરક્ષિત રીતે સંભાળી શકશે. જો સાત દિવસ પછી કોઈ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તો જ વાતાવરણમાં પલટો આવશે, ત્યાં સુધી માત્ર સૂકી ગરમીનો સામનો કરવો પડશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:56 am

મંડે પોઝિટીવ:રૂ. 15 હજારથી 1.5 લાખની ફીવાળી સ્કૂલમાં 5 વર્ષમાં રાજકોટના 27 હજાર બાળકોને મળ્યું નિ:શુલ્ક ભણતર

શિક્ષણ એ મોંઘી મિલકત બની ગઈ હોય તેવા સમયમાં, રાજકોટના મધ્યમ અને શ્રમિકવર્ગના પરિવારો માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) એક આર્થિક કવચ સાબિત થયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષનું ચિત્ર જોઈએ તો એક આશ્ચર્યજનક આંકડો સામે આવે છે. જે શાળાઓમાં પગ મૂકતા પહેલા સામાન્ય માણસે બે વાર વિચાર કરવો પડતો હતો, તેવી રૂ.15 હજારથી માંડીને રૂ.1.50 લાખ સુધીની વાર્ષિક ફી ધરાવતી હાઈ-ફાઈ સ્કૂલોમાં 27,000થી વધુ બાળકો આજે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. જો આ 27,000 બાળકોએ ખાનગી ક્વોટામાં પ્રવેશ લીધો હોત, તો સરેરાશ ફી મુજબ રાજકોટના વાલીઓએ પાંચ વર્ષમાં અંદાજે રૂ.50 કરોડથી વધુની માતબર રકમ સ્કૂલના કાઉન્ટર પર જમા કરાવવી પડી હોત, પરંતુ RTEના અમલીકરણને કારણે આ 50 કરોડ રૂપિયા મધ્યમવર્ગના વાલીઓના ખિસ્સામાં બચ્યા છે. આ રકમનો ઉપયોગ આજે પરિવારો પોતાના ઘરના અન્ય સપનાઓ પૂરા કરવામાં કે બાળકોના ઉજ્જવળ ઉચ્ચ અભ્યાસ માટે કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 5000થી વધુ બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ દર વર્ષે હજારો એવા પરિવારોની જીત છે જેઓ પોતાના સંતાનોને શહેરની શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ આપવા માગતા હતા. સ્માર્ટ ક્લાસ, રમતગમતના મેદાનો અને આધુનિક લાઇબ્રેરી ધરાવતી શાળાઓમાં જ્યારે મજૂરનો દીકરો અને ઉદ્યોગપતિનું સંતાન એક જ બેન્ચ પર બેસીને ભણે છે, ત્યારે સામાજિક સમાનતાનું સાચું ચિત્ર ઉપસે છે. કિસ્સો-1 | ખિસ્સા ખાલી હતા, પણ દીકરાનું નસીબ ભરેલું નીકળ્યુંરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા એક વાલી જણાવે છે કે, દીકરાને મોટી સ્કૂલમાં ભણાવવાની ઈચ્છા તો હતી પણ હિંમત નહોતી. RTEમાં ફોર્મ ભર્યું અને નંબર લાગી ગયો. આજે મારો દીકરો ટાઈ-બેલ્ટ લગાવીને સ્કૂલે જાય છે ત્યારે ગર્વ અનુભવાય છે. જે ફી મારે ભરવાની હતી તે હવે હું તેના ભવિષ્ય માટે બેંકમાં જમા કરું છું. કિસ્સો-2 | પતિના અવસાન પછી ભણતર છૂટી જશે એવો ડર હતોરૈયા રોડ પર રહેતા ગીતાબેન (નામ બદલ્યું છે) જેમના પતિનું અવસાન કોરોનાકાળમાં થયું હતું. તેઓ સિલાઈ કામ કરે છે. દીકરાને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવવાની તેમની ઈચ્છા અધૂરી રહી જાય તેમ હતી. ઘરનું ભાડું ભરવું કે દીકરાની સ્કૂલની ફી? આ સવાલ રોજ સતાવતો, પછી RTEમાં એડમિશન મળ્યું ત્યારથી ફી ભરવાની ચિંતા જ દૂર થઇ ગઈ. RTEનું રાજકોટ જિલ્લાનું 5 વર્ષનું સરવૈયું

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:55 am

સિટી એન્કર:રાજકોટના 7 યુવાન 12 વર્ષથી ઝૂંપડપટ્ટી સહિત 600 લોકોને જમાડે છે પાઉંભાજી, ગોલા સહિતની ભાવતી વાનગી

એક સામાન્ય ક્ષણમાંથી જન્મેલો એક અસામાન્ય વિચાર, પરિવાર સાથે જમવા ગયેલા એક યુવાને જ્યારે એક ગરીબ બાળકની આંખોમાં ભૂખ જોઈ, ત્યારે એના અંતર આત્માએ તેને અંદરથી ઝંઝોળી નાખ્યો હતો. એ જ લાગણીએ 12 વર્ષ પહેલાં મિત્રોને સાથે જોડ્યા અને આજે આ વિચાર એક સુંદર સેવાયજ્ઞમાં પરિવર્તિત થયો છે. રાજકોટના સાત યુવાનોનું આ ગ્રૂપ દર મહિને બે વખત શહેરના રૈયાધાર, મોરબી રોડ અને યુનિવર્સિટી રોડ જેવા વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકો સહિત આશરે 600 લોકોને પ્રેમથી જમાડે છે. અહીં માત્ર ભોજન નથી આપવામાં આવતું, અહીં લાગણી વહેંચાય છે, માનવતા જીવંત થાય છે. આ મિત્રોમાં કોઈ ધંધાર્થી છે, કોઈ બેંક કર્મચારી છે તો કોઈ એડવોકેટ છે. પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ તેઓ સેવા માટે સમય ફાળવે છે. મહિને બે રવિવાર પરિવાર માટે અને બે રવિવાર આ સેવાકાર્ય માટે ફાળવીને તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવે છે. બાળકોને શું ગમે છે તે ખાસ ધ્યાનમાં રાખીને પાઉંભાજી જેવી ભાવતી વાનગીનું જમણવાર યોજાય છે. ઉનાળામાં બાળકોને ગોલા ખાવાની મજા મળે તે માટે આ યુવાનો પોતે જ ગોલા બનાવવાનું મશીન લાવી ચૂક્યા છે. હવે તેઓ પોતાના હાથથી ગોલા બનાવીને બાળકોને ખવડાવે છે અને તે ક્ષણે બાળકોના ચહેરા પર દેખાતી ખુશી જ તેમના માટે સૌથી મોટો આનંદ બને છે. દર મહિને આ યુવાનો આશરે 16 વિધવા અને જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કિટ આપે છે. કિટમાં ઘઉં, ચોખા, ગોળ, તેલ, પૌવા, મમરા અને મસાલા સામેલ હોય છે. આ સહાય માત્ર ખોરાક નથી, પરંતુ મુશ્કેલીમાં એક મજબૂત સહારો અને આશાનો સંદેશ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો કોઈ નામ કે પ્રસિદ્ધિ પાછળ સેવા કાર્ય નથી કરતા, જ્યારે તેમના ગ્રૂપનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ નમ્રતાથી કહ્યું,“આ સેવા નામ માટે નથી.” પોતાનો ફોટો કે ઓળખ જાહેર કરવાની પણ તેમણે ના પાડી. આજના સમયમાં જ્યાં નાની મદદ પણ દેખાડવામાં આવે છે, ત્યાં આ યુવાનો નિ:શબ્દ રીતે સેવા કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:51 am

ભાસ્કર વિશેષ:બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પહેલી વાર 5 મહિલા પ્રતિનિધિ મળ્યાં

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 18 જનરલ સીટ અને 5 મહિલા અનામતની સીટ જાહેર કરાઈ છે. 12 દિવસની લાંબી મતગણતરી બાદ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે માત્ર વિજેતાઓના નામ જ નહીં, પણ ન્યાયિક લોકશાહીનો એક નવો ચહેરો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક હસ્તક્ષેપ અને નિર્દેશોને પગલે પ્રથમવાર 25 સભ્યની બોડીમાં 5 મહિલા પ્રતિનિધિ વિજયી થયાં છે. વડોદરાનાં નિમિષા ધોત્રેએ મહિલા ક્વોટામાં 2 હજારથી વધુ મતો મેળવ્યાં છે, જ્યારે વંદના ભટ્ટ, હીરલ પાનવાલા, અમૃતા ભારદ્વાજ અને પ્રીતિ જોષીએ મહિલા અનામતના ક્વોટામાં જીત મેળવી હતી. મહિલાઓ આ વ્યવસાયમાં ઓછી હોવાથી ભરોસો કેળવવો એ પડકાર વકીલનો વ્યવસાય પુરુષપ્રધાન છે, જેમાં હજી મહિલાઓની સંખ્યા ઓછી છે. ક્રિમિનલ કેસની પ્રેક્ટિસમાં પણ મહિલાઓ ઓછી છે ત્યારે ભરોસો જીતવો ખૂબ મોટી ચેલેન્જ હતી અને મને યોગ્ય ગણીને વિજેતા બનાવીએ મારા માટે ખૂબ ગર્વની વાત છે. > અમૃતા ભારદ્વાજ મારા માટે સંગઠન શક્તિ ખૂબ મહત્ત્વની છે, એ જ મારી જીત રાજપીપળા બારમાંથી સભ્ય પદ નોંધાવી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સ્થાન મેળવ્યું આ માટે હું નર્મદા જિલ્લાની આભારી છું. પ્રોટેક્શન એકટ હોય કે અન્ય કોઈ મુદ્દો હોય કામ કર્યું છું. મારા માટે સંગઠન શક્તિ મહત્વની છે. > વંદના ભટ્ટ પહેલી વાર સમાનતાની રૂએ આગળ વધવાની તક મળી છે પ્રથમ વાર સમાનતાની રુએ આગળ વધવાની તક મહિલાઓને આપવામાં આવી છે. મહિલાઓ પણ ન્યાય આપી શકે છે, મેનેજમેન્ટ કરી શકે છે. જો મહિલાઓ ઘર ચલાવી શકતી હોય તો ન્યાય પણ આપી શકે. > પ્રીતિ જોષી સૌથી નાની ઉંમરે પ્રતિનિધિત્વ કરવાની તક મળી તમામ જગ્યાએ મહિલા પ્રતિનિધિત્વ હોવું જોઈએ. સૌથી નાની ઉંમરે તમામ વકીલો અને ખાસ કરીને મહિલા વકીલો માટે કામ કરવાની તક મળી છે. સુરત, દક્ષિણ ગુજરાતમાં મહિલા વકીલો વધારે છે, પણ અફસોસ છે કે જેટલી મહિલા વકીલો છે તેટલા મત મળ્યા નથી. > હિરલ પાનવાલા ‘વકીલના વ્યવસાયમાં જેન્ડરનું મહત્ત્વ નથી’ તમામ કોર્ટમાં જઈ પ્રચાર કર્યો. વકીલોની તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો છે, જેના કારણે જંગી મત મળ્યા. વકીલાતના વ્યવસાયમાં જેન્ડરનું મહત્ત્વ નથી, તમામ સમાન છે. મારી જીતમાં જેટલું યોગદાન મહિલાનું છે એટલું જ પુરુષ વકીલોનું છે. > નિમિષા ધોત્રે

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:48 am

કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં 6 માસમાં સેવા બંધ થશે:ITIમાંથી લર્નિંગ લાઇસન્સ આપવાનું કામ બંધ કરી દેવાશે

ઘરે બેઠા ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ લેવાનું ચલણ વધે તે માટે વાહન વ્યવહાર વિભાગે આઈટીઆઈમાંથી નીકળતા લાઇસન્સને બંધ કરવા નિર્ણય લીધો છે. 28 ફેબ્રુઆરીએ આઈટીઆઈનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર વિભાગે રિન્યુ કર્યો નથી. જોકે આરટીઓનાં સૂત્રોના જણાવ્યાનુસાર, હજુ છ મહિના સુધી આઈટીઆઈમાંથી લર્નિંગ લાઇસન્સ અપાય તેવી વ્યવસ્થા ચાલુ રખાશે, પણ આ અંગે અંતિમ નિર્ણય વાહન વ્યવહાર વિભાગ લેશે. તેઓ દ્વારા પત્ર લખી કરાર રિન્યુ કરવામાં આવશે. અમદાવાદનાં પાંચ આઈટીઆઈ સેન્ટર પરથી દરરોજ 460 અને ઘરે બેઠા અંદાજિત 280 લર્નિંગ લાઇસન્સ લેવાય છે. ધીમે ધીમે આરટીઓની તમામ કામગીરીને ઓનલાઇન ધોરણે ટ્રાન્સફર કરી દેવાય તે રીતે વાહન વ્યવહાર વિભાગ કામગીરી કરશે. ઓનલાઇન કામગીરી થાય તો આ પડકારો

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:44 am

આશ્રમ એક્સપ્રેસ 4 એપ્રિલે જયપુર નહિ જાય:પાંચથી વધુ ટ્રેનના સમયમાં 25મી માર્ચથી ફેરફારો થશે

રાજસ્થાનના દૌસા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ તેમ જ જયપુર–બાંદીકુઈ વિભાગમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાતા કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. 4 એપ્રિલે બે મહત્ત્વની ટ્રેનોના રૂટમાં અસ્થાયી ફેરફાર કરાયો છે. આ સિવાય કેટલીક ટ્રેનના સમયમાં 25 માર્ચથી ફેરફારો લાગુ થશે. ટ્રેન નંબર 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ તેના નિયમિત ફુલેરા-જયપુર–અલવર-રેવાડી રૂટના બદલે ફુલેરા-રીંગસ-રેવાડી માર્ગે દોડશે, જેને કારણે આ ટ્રેન રિંગસ, નીમ કા થાના, નારનૌલ સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 20964વારાણસી - સાબરમતી એક્સપ્રેસ પણ તેના નિયમિત રેવાડી-અલવર-જયપુર-ફુલેરા રૂટના બદલે રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન પણ માર્ગમાં નારનૌલ, નીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર રોકાશે. રૂટ ડાઇવર્ઝનના કારણે આ દિવસે ટ્રેન જયપુર, અલવર સ્ટેશને જશે નહિ. ટ્રેન નંબર 12958નવી દિલ્હી–સાબરમતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ પાલનપુર સવારે 5.50 અને મહેસાણા સ્ટેશન પર 6.38 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 20626ભગત કી કોઠી-ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેન ભીલડી સ્ટેશન પર હવે 10.55 વાગે પહોંચશે. ટ્રેન નંબર 12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસ હવે અમદાવાદ સ્ટેશન પર બપોરે 12.15 વાગ્યે આવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:43 am

માધુપુરાના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂ:દિલ્હીથી લેડીઝ ચંપલનાં પાર્સલોમાં સંતાડી લવાયેલો દારૂનો જથ્થો મળ્યો

માધુપુરાના ગોડાઉનમાં દિલ્હીથી લેડીઝ ચંપલની આડમાં લવાયેલી દારૂની 32 બોટલ પકડાઈ છે. માધુપુરા ગુજરાત જીનિંગ મિલમાં આવેલા ગુડ્સ ફ્રેઇગ્ટ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવેલા શંકાસ્પદ પાર્સલમાં દારૂ આવ્યો હોવાની માહિતીના આધારે પીસીબીએ તપાસ કરી હતી. જેમાં એક પાર્સલને ચેક કરતા તેમાંથી લેડીઝ ચંપલની આડમાં આવેલી દારૂની 32 બોટલ મળી હતી. પાર્સલ દિલ્હીના જૈન એન્ટરપ્રાઈઝે મોકલ્યું હતું. જ્યારે અમદાવાદમાં આ પાર્સલ નીલમ ફૂટવેરના નામથી આવ્યું હતું. કાગડાપીઠમાંથી દારૂની 1344 બોટલ સાથે 1 પકડાયોકાગડાપીઠના લાટીબજાર શંકર ભગવાનના મંદિર સામેની એક દુકાન બહારથી ક્રાઈમ બ્રાંચની ટીમે વિદેશી દારૂની 1344 બોટલ (કિંમત રૂ.2.63 લાખ) સાથે રીતેશ સથવારાને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનનો એક બુટલેગર ગાડીમાં આપી ગયો હતો. જ્યારે રિતેશ આ દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:42 am

ડ્રાઇવિગ ટેસ્ટનું પરિણામ:4 વર્ષમાં 51231 મહિલા અને 34142 પુરુષ ડ્રાઈવ ટેસ્ટમાં ફેલ

વર્ષ 2022થી 2025 સુધી છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ ખાતે કુલ 7,19,023 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ ટેસ્ટમાં 85,355 લોકો ટેસ્ટમાં નાપાસ થયા હતા 34,142 પુરૂષો અને 51,231 મહિલાઓ નાપાસ થયા હતા. જ્યારે સૌથી વધુ 3,82,364 લોકોએ અમદાવાદ આરટીઓ અને 3,36,659 લોકોએ વસ્ત્રાલ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો. વર્ષ દરમિયાન અપાતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં 40 ટકા મહિલાઓ અને 60 ટકા પુરુષો નાપાસ થતા હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં સૌથી વધુ લોકોના નિયત સમય મર્યાદામાં બોક્સ અને રિવર્સ કાર પાર્કિંગ ન કરી શકવાના કારણે નાપાસ થતા હોય છે. જોકે લોકોના નાની-મોટી ભૂલને સુધારવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ઇન્સ્પેક્ટરોની હાજરી હોય છે અને તેઓ લોકોને મદદ પણ કરતા હોય છે. તેમ છતા પણ મોટા પ્રમાણમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થતા હોય છે. જે લોકોને ટેસ્ટ ટ્રેક માટેની તૈયારી કરવી હોય તેઓ યુ-ટ્યુબ પર પણ વીડિયો જોઇને શીખી શકે છે અને ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાં પણ ટેસ્ટ ટ્રેક પર જઇને પ્રેક્ટિસ કરી શકે છે. ઉપરાંત અમદાવાદમાં જ્યારે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ થશે ત્યારે નાપાસ થનારા લોકોની સંખ્યા વધી શકે છે. જે અરજદાર તૈયારી કરીને આવે છે તે નાપાસ થતા નથીજે અરજદારો તૈયારી કરીને આવે છે તેઓ નાપાસ થતા નથી, તૈયારી વગરના નાપાસ થાય છે અમદાવાદના ઇન્ચાર્જ આરટીઓ નીરવ બક્ષીએ જણાવ્યું કે, જે લોકો સરખી રીતે તૈયારી કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે તેઓ સમયસર રીતે પાસ થઇ જાય છે. તૈયારી વગર જે લોકો આવતા હોય તેઓ જ નાપાસ થતા હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર નિયમો પ્રમાણે લોકોની ટેસ્ટ પહેલાં સમજાવવામાં પણ આવે છે તેમ છતાં તેઓ નાપાસ થાય છે. જોકે અમદાવાદ સહિતના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિષ્પક્ષપણે ડ્રાઇવિંગ સ્કિલની તપાસ કરવામાં આવતી હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાનાં મુખ્ય કારણો

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:38 am

ભાસ્કર વિશેષ:કચ્છમાં બેન્કોની તિજોરી છલકાઈ છતાં પણ ધિરાણમાં કંજૂસી

તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટ અને ‘સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી’ (એસએલબીસી) ના સપ્ટેમ્બર 2025 સુધીના આંકડાઓએ કચ્છ જિલ્લાની બેન્કિંગ વ્યવસ્થાનું એક અત્યંત રોચક અને આશ્ચર્યજનક ચિત્ર રજૂ કર્યું છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓની કોમર્શિયલ બેન્કોની કામગીરીનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે, કચ્છના લોકોએ બેંકોમાં બચત અને થાપણોના ઢગલા કરી દીધા છે, પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે વેપાર-ઉદ્યોગ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન (ધિરાણ) આપવામાં બેંકો ઘણી જ ઉદાસીન અને કંજૂસ સાબિત થઈ રહી છે. 432 બેન્ક શાખાઓ સાથે કચ્છ ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે છે. જિલ્લાની આર્થિક સદ્ધરતાનો સૌથી મોટો પુરાવો એ છે કે 63,569 કરોડ રૂપિયાની માતબર થાપણો સાથે કચ્છ રાજ્યમાં 5મા ક્રમે આવે છે (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પછી). NRI ભંડોળ અને સ્થાનિક બચતના કારણે કચ્છના લોકોની બેંકોમાં બચત કરવાની ક્ષમતા અત્યંત મજબૂત છે. 35,191 કરોડ રૂપિયાના ધિરાણ સાથે કચ્છ આ બાબતમાં પણ રાજ્યમાં 5મા ક્રમે છે. 5 વર્ષના કચ્છના થાપણ-ધિરાણના લેખાં જોખાં થાપણ-ધિરાણના રેશિયાની ધીમી ગતિ સૌથી મોટી ચિંતા - નીચો ક્રેડિટ ડિપોઝિટ રેશિયોઆ રિપોર્ટનું સૌથી આશ્ચર્યજનક પાસું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે. ગુજરાત રાજ્યનો સરેરાશ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 90.36% છે, જેની સરખામણીમાં કચ્છનો રેશિયો માત્ર 55.36% છે. આનો સીધો અર્થ એ છે કે, કચ્છની બેંકોમાં જમા થતા દર 100 રૂપિયા સામે બેંકો માત્ર 55 રૂપિયા આસપાસ જ ધિરાણ (લોન) પેટે આપે છે. આ દર્શાવે છે કે બેંકો પાસે પુષ્કળ ભંડોળ જમા થાય છે, પરંતુ તે ભંડોળનો ઉપયોગ સ્થાનિક વિકાસ કે ધિરાણ માટે પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો નથી. કચ્છ કરતાં માત્ર 7 જિલ્લાઓનો ખેડા, તાપી, ગાંધીનગર, આણંદ, નવસારી, પોરબંદર અને ડાંગ સીડી રેશિયો ઓછો છે. સૌથી વધુ સીડી રેશિયોથી લઈને સૌથી ઓછા રેશિયોની ગણતરી કરતા, કચ્છ રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાં 26th ક્રમે આવે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:35 am

ચીનથી આયાત કરાયેલાં 9.25 કરોડના 11 હજાર વોકીટોકી સેટ જપ્ત

બાવન હજાર હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરાઈ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારુપ વોકીટોકીની 8 કન્ટેનર ભરીને આયાત કરનારા પિતા-પુત્રની ધરપકડ મુંબઈ: નવી મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ રુ. ૯.૨૫ કરોડના ૧૧ હજારથી વધુ પ્રતિબંધિત વોકી- ટોકી સેટ અને બાવન હજારથી વધુ સેકન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (એચડીડી) જપ્ત કર્યા હતા. આ કેસમાં આયાત કરતી કંપનીઓના માલિક તરીેકે ઓળખાતા પિતા પુત્રની જોડીની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 23 Mar 2026 5:35 am

મંડે પોઝિટીવ:રાંચરડાના હનુમાનજી મંદિરમાં 3 રામરોટી સેવારથ, રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ

જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. દાન આપવાની આ યોગ્ય પદ્ધતિ છે અને આ જ રીતને રાંચરડામાં આવેલું સંકટમોચન મહાવીર હનુમાન મંદિરે આત્મસાત્ કરી છે. મંદિર દ્વારા સેવાકાર્યો કરાય છે પરંતુ તેમાં ક્યાંય દાતા તરીકે મંદિરના સંચાલકો પોતાનું નામ સુધ્ધાં આપતા નથી. એટલું જ નહીં, નામનો આગ્રહ રાખનારા દાતાઓનું દાન પણ સ્વીકારાતું નથી. મંદિરના સંચાલક ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે મહાબલિ હનુમાનજીના પ્રગટ અવતાર સમા નીમ કરોલી બાબાની પ્રેરણાથી આ મંદિરની સ્થાપના કરાઈ છે એટલે તેમના જ આદર્શોને ધ્યાનમાં રાખીને દાન અને સેવાાર્યોની સરવાણી વહાવાઈ રહી છે. સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા દૈનિક 500 પરિવારને સવારે અને સાંજે ભોજનપ્રસાદનું વિતરણ કરાય છે. આ માટે 3 રામરોટી સેવારથ શહેરમાં ફેરવવામાં આવે છે. ભોજનપ્રસાદના વિતરણમાં પણ કોઈ શ્રમિક કે ગરીબ પરિવારો પરવશ ન થઈ જાય તેનું ધ્યાન રખાય છે. આ માટે ત્રણેય રથ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે. ભોજનની સાથેસાથે ગરીબ બાળકોને કપડાં, સ્ટેશનરી, રમકડાં અને જીવનોપયોગી વસ્તુઓ અપાય છે અને વયસ્કોને વાસણ, કરિયાણાનું પણ વિતરણ કરાય છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ થાય છેમંદિરમાં 1 વર્ષથી દર રવિવારે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. ઉપરાંત નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સાથેસાથે વિવિધ ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. આ સિવાય પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓ પણ મંદિરમાં આવીને ભજન-કીર્તન કરે છે. વૃદ્ધાશ્રમના વડીલોને પણ મંદિરમાં બોલાવીને સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર બુધવાર અને રવિવારે મેડિકલ ચેક-અપ કરવા સાથે ઉપયોગી દવાનું વિતરણ પણ થાય છે. હનુમાનજીની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા2024ની 25 ઑગસ્ટે રાંચરડામાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાન દાદાની 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી 1.5 ટન વજનની વિશ્રામ મુદ્રામાં પ્રતિમા છે. પાતાળલોકમાં હનુમાનજીએ રાવણના ભાઈ અહીરાવણનો વધ કરીને પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણજીને બંધનમાંથી મુક્ત કરાવ્યા પછી વિશ્રામ કર્યો હતો. સાથે હનુમાનજીના પુત્ર મકરધ્વજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:32 am

UGCની નવી ગાઈડલાઈન:હવે 12 મિનિટની દોડ, પુશ-અપ જેવી શારીરિક કસોટીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

યુજીસીએ કોલેજો કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે શારીરિક શિક્ષણને અનિવાર્ય બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. એનઈપી-2020ને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલી માર્ગદર્શિકા મુજબ દરેક યુનિવર્સિટી-કોલેજોમાં.હવે 12 મિનિટની દોડ, પુશ-અપ્સ, સિટ અપ્સ જેવી શારીરિક કસોટીમાં દેખાવના આધારે જ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ અપાશે. યુજીસીના જણાવ્યાં પ્રમાણે શારીરિક પ્રવૃત્તિને મૂલ્યાંકન પદ્ધતિ સાથે જોડી દેવાશે. સહન શક્તિ અને સંકલન ક્ષમતાના આધારે વિદ્યાર્થીની લાયકાત ગણાશે. વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ પડશે‘અત્યાર સુધી કોલેજોમાં રમતવીર વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ સુધી સીમિત હતા. યુજીસીની ગાઈડલાઈનના પગલે સૌ પ્રથમવાર કોલેજોમાં સ્વાસ્થ્ય વર્ધક રમતો રમાડાશે. પરિણામે દરેક વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવી પડશે. શું છે ‘કૂપર ટેસ્ટ’ અને શિક્ષણમાં તેનું મહત્ત્વ?12 મિનિટની દોડ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. ડો. કેનેથ કૂપરે 1968માં અમેરિકન આર્મી માટે આ ટેસ્ટ તૈયાર કરી હતી. તે ફેફસાં દ્વારા ઓક્સિજન લેવાની મહત્તમ ક્ષમતા માપે છે. એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત થતા યાદશક્તિ વધારે છે. આદેશને પગલે સંતુલિત વ્યક્તિત્વનું નિર્માણ થશેહાલમાં વિવિધ કોલેજોમાં અભ્યા કરતા વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ટિવિટિસનુ પ્રમાણ ઓછુ છે, મોટાભાગે બાળકો એસી રુમમાં બેસીને અભ્યાસ કરે છે.આવી પરિસ્થિતિમાં યુજીસીની ગાઈડ લાઈન મુજબ જો કોલેજોમાં વિવિઝ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટિસ થશે તો સ્વભાવિક રીતે તેમના સંતુલિત વ્યક્તિત્વનુ નિર્માણ થશે. સર્વાંગીણ વિકાસ થશે. યુજીસીની ગાઈડ લાઈનનો નિયત ધારાધોરણ મુજબ અમલ કરાશે.’> ડો નીરજા ગુપ્તા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી 12 મિનિટની ફિટનેસ ફોર્મ્યુલા શું છે?

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:31 am

ઈડીનો ડર દેખાડી ધનખડનું રાજીનામું લેવાયાનો રાઉતનો દાવો

રાઉતનાં અનલાઈક્લી પેરેડાઈઝ પુસ્તકમાં દાવો રાજ્યસભામાં સરકારના ઈશારે વર્તવા ના પાડી દેતાં એક પ્રોપર્ટી ફાઈલ ખોલવામાં આવી હતી મુંબઈ: તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ઈડી કાર્યવાહીનો ડર દેખાડી તેમનું તત્ક્ષણ રાજીનામું લઈ લેવાયું હોવાનો દાવો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તેમના પુસ્તકમાં કર્યો છે. રાઉતે પત્રાચાલ રિડેવલપમેન્ટ કેસમાં જેલમાં જવું પડયુું હતું. આ ૧૦૦ દિવસના જેલવાસ દરમિયાન તેમણે 'નરકચા સ્વર્ગ' નામનું મરાઠી પુસ્તક લખ્યું હતું.

ગુજરાત સમાચાર 23 Mar 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઈન્ફેક્શનને રોકવા માટે જીટીયુના 3 પ્રોફેસર સ્માર્ટ ડિવાઈસ તૈયાર કરશે

જીટીયુના એપ્લાઈડ સાયન્સ વિભાગ દ્વારા ઈન્ફેકશન-ચેપ (સેપ્સિસ)ને રોકવા માટે સ્માર્ટ ડિવાઈસ તૈયાર કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (જીએસબીટીએમ) દ્વારા 60 લાખનો પ્રોજેકટ મંજૂર કરાયો છે. જે અંતર્ગત જીટીયુની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાયન્સના ત્રણ નિષ્ણાતો દ્વારા 60 લાખના ખર્ચે એક ‘સ્માર્ટ વેરેબલ ડિવાઈસ’ વિકસાવવામાં આવનાર છે, જે શરીરમાં લેક્ટેટ લેવલ અને દવાની માત્રાનું સતત નિરીક્ષણ કરાશે. આ પ્રોજેક્ટ પ્રોફેસર ડો આલોક પંડયા, પ્રોફેસ વૈભવ ભટ્ટ, ડો દોલતસિંહ ઝાલા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સ્માર્ટ વેરેબલ ડિવાઇસ કેવી રીતે કામ કરશે? ઇન્ફેક્શન વહેલું પકડાતાં દર્દીનો જીવ બચી શકશે લક્ષ્યાંક: 2030 સુધી વ્યાપક ઉપયોગ માટે તૈયારીહેલ્થકેર ટેક્નોલોજીમાં આ પ્રોજેક્ટ એક માઈલસ્ટોન બની રહેશે. અમારુ લક્ષ્ય એક એવુ ડિવાઈસ બનાવવાનુ છે કે જે માત્ર હોસ્પિટલ જ નહી, પરંતુ ભવિષ્યમાં સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી શકે તેમ છે.’ > પ્રો. વૈભવ ભટ્ટ, પ્રોજેક્ટ ટીમ મેમ્બર, વડા એપ્લાઈડ સાયન્સ વિભાગ જીટીયુ

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:29 am

પ્રગતિશીલ ખેડૂત:સુરેન્દ્રનગરના ખેડૂતે ઇઝરાયેલી લીલા અંજીરની ખેતી કરી મબલખ આવક મેળવી

સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના વતની અને મિલનભાઇ રાવલે પોતાના 20 વીઘાના ફાર્મમાં 8 હજાર જેટલા લીલા અંજીરનું વાવેતર કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. માત્ર 9 માસમાં પ્રતિદિન 100 કિલો ઉત્પાદન મેળવતા આ પ્રગતિશીલ ખેડૂતનું લક્ષ્ય રોજના 300 કિલો અંજીર ઉત્પાદનનું છે. તેમણે સૂકી આબોહવાવાળા પંથકમાં આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી તેની સમગ્ર જાણકારી તેમના જ શબ્દોમાં... વઢવાણ તાલુકાના કટુડા ગામમાં અમારી જમીન આવેલી છે. જિલ્લામાં દર વર્ષે બદલાતા હવામાન, માવઠાને કારણે મોટી રકમનો ખર્ચ કરવા છતાં પરંપરાગત ખેતીમાં પાક નિષ્ફળ જવાનો ખૂબ ભય રહે છે. આથી મેં કંઇક અલગ રીતે ખેતીને ડેવલોપ કરવા માટે વિચારી ખૂબ અભ્યાસ પછી નિષ્ણાતોની સલાહ લઇ 20 વીઘા જમીનમાં ઇઝરાયેલી લીલા અંજીરના 8 હજાર રોપાનું વાવેતર કર્યું. વાવેતરના 20 વર્ષ સુધી ફળ આપતા આ પાકની બીજી વિશેષતા એ છે કે 8 માસમાં તેનું ઉત્પાદન શરુ થઇ જાય છે. શરૂઆતના સમયમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ પ્લાન્ટ સેટ થઇ ગયા બાદ અત્યારે દરરોજ 100 કિલો અંજીરનો પાક ઉતરે છે. એક રોપામાંથી વર્ષે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. 8 હજાર રોપાનું ઉત્પાદન 160 ટન જેટલું થાય છે. વર્તમાન સમયે પ્રતિદિન 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે. પરંતુ આગામી સમયમાં 300 કિલો સુધી ઉત્પાદન પહોચશે. ઓર્ગેનિક અંજીરની ખૂબ માંગ છે ત્યારે મિલનભાઇ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અંજીરનું વેચાણ કરે છે. આગામી સમયમાં તેઓ વિદેશમાં નિકાસ કરવાની યોજના ધરાવે છે. -એક રોપામાંથી વાર્ષિક અંદાજે 20 કિલોનું ઉત્પાદન- પ્રતિકૂળ વાતાવરણથી બચવા ઇન્સેટપ્રુફ જાળીથી નેટહાઉસ બનાવવું જોઇએ.-છોડને જરૂર મુજબ પોષણ મળે તે માટે ટપક પદ્ધતિ અપનાવવી.- વેધર સિસ્ટમથી દર 5 મિનિટે જમીનમાં રહેલા ભેજનું માપન કરે છે.- એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો ઉત્પાદન થાય છે.- નિકાસ થાય તો આ અંજીરનો ભાવ કિલોએ રૂ.500 થી રૂ.700 મળે આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત.... 98790 24217

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:28 am

રાજ્યમાં નિષ્ણાત તબીબોની અછત:અઢી મહિનાથી બોન્ડેડ સર્વિસના ઓર્ડર ન થતાં જીવલેણ બીમારીની સારવારમાં વિલંબ

DM (ડોક્ટરેટ ઓફ મેડિસિન) અને MCh (મેજિસ્ટર ચિરર્જીએ) જેવી સુપર-સ્પેશિયલિટી સીટો આજના સમયમાં કોઈપણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. MD (ડોક્ટર ઓફ મેડિસિન) અને MS (માસ્ટર ઓફ સર્જરી) પૂર્ણ કર્યા બાદ ત્રણ વર્ષનો ડીએમ અને એમસીએચનો વિશેષ અભ્યાસ કરવો પડે છે. ગુજરાતમાં કુલ 147 સીટ ઉપલબ્ધ છે, જેમાંથી 102 સીટ માત્ર સરકારી બી.જે. મેડિકલ કોલેજમાં છે. સમગ્ર દેશમાં માત્ર 5 હજાર સીટ છે. DM-MChની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ અનુક્રમે 26 નવેમ્બર અને 18 ડિસેમ્બરે લેવાઈ હતી જ્યારે 8 જાન્યુઆરીએ પરિણામ જાહેર થયું હતું. જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ મજબૂત બને તે હેતુસર ડૉક્ટરોને બોન્ડેડ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂકના ઓર્ડર બહાર પાડવાના હતા. જોકે આરોગ્ય વિભાગે અત્યાર સુધી ડૉક્ટરોના ઓર્ડર જારી કર્મી નથી. MD-MS પછીનું સર્વોચ્ચ તબીબી શિક્ષણ મેળવ્યા છતાં ડૉક્ટરો અઢી મહિનાથી બેરોજગાર બેઠા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ રાજ્યમાં સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત છે જેના કારણે જીવલેણ બીમારીઓથી પીડાતા ગંભીર દર્દીઓનું સમયસર નિદાન અને સારવાર મુશ્કેલ બની રહી છે. પરિણામે ગુજરાતમાં તબીબી સંશોધન તથા નવી સારવાર પદ્ધતિઓના વિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. DM અને MCh સીટો માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આરોગ્યસેવાની ગુણવત્તા સુધારવા, દર્દીઓને અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવા અને હોસ્પિટલોને ટર્શિયરી કેર સંસ્થા તરીકે વિકસાવવા માટે અનિવાર્ય છે. કોલેજો તરફથી ડેટા ગાંધીનગર મોકલી દેવાયો છે, પણ ગાંધીનગરથી ઓર્ડર થયા નથી. આરોગ્ય વિભાગે બ્રોડ સ્પેશિયાલિટી MD અને MS થયેલા ડૉક્ટરોના પણ બે મહિનાથી બોન્ડ જાહેર કર્યા નથી. સમગ્ર મામલે સરકારના એક પણ અધિકારી બોલવા તૈયાર નથી. DM / MCh (સુપર-સ્પેશિયાલિટી કોર્સ) MD / MS (પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ) સરકારની બેદરકારીના કારણે ડૉક્ટરો ઘરે બેસી રહ્યાસમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ એવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે કે સર્વોચ્ચ તબીબી શિક્ષણ મેળવ્યા છતાં ડૉક્ટરોને બે મહિના સુધી ઘરે બેસી રહેવું પડે છે. સુપર-સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલો દ્વારા હૃદયરોગ, કેન્સર, ન્યુરોલોજી, કિડની ટ્રાન્સપ્લાન્ટ, જટિલ સર્જરી અને ક્રિટિકલ કેર જેવી અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની શકે છે. ડૉક્ટરો બોન્ડેડ સેવા આપવા તૈયાર હોવા છતાં સરકારની વિલંબિત પ્રક્રિયાના કારણે તેમના અમૂલ્ય અઢી મહિના વ્યર્થ ગયા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:27 am

વિશ્વ હવામાન દિવસ:ગરમીથી ગુજરાતના જીડીપી પર રૂ. 2 લાખ કરોડનું જોખમ

દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઊજવાય છે. પરંતુ 21મી સદીમાં ગુજરાતના હવામાન ઘણુ બદલાયું છે. જેની અસર ખેતી, ઉદ્યોગો, જાહેર આરોગ્ય, દરિયાકિનારા પર થઇ છે. સરકારી વેબસાઇટ ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર મુજબ, વધતા તાપમાનના કારણે 2030 સુધીમાં ગુજરાતના જીડીપીમાં 2 ટ્રિલિયન એટલે કે 2 લાખ કરોડ રૂપિયા નુકસાન થવાનું જોખમ છે. આ ઉપરાંત સદીના અંત સુધી રાજ્યમાં 365 દિવસમાંથી 150 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાનું અનુમાન કરાયું છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં દિવસ અને રાતના લઘુત્તમ, મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીના દિવસો ઘટ્યા છે, પરંતુ ગરમ દિવસો સતત વધી રહ્યા છે. ચોમાસમાં 15% ઘટાડો થશે બદલતા ઋતુચક્રમાં ચોમાસાના દિવસો સતત ઘટી રહ્યા છે. 2040 સુધીમાં ગુજરાતમાં ચોમાસાના દિવસો 15% સુધી ઘટી જશે. આ ઉપરાંત અતિભારે વરસાદની ઘટનાઓ 70% સુધી વધવાનું જોખમ છે. 2050 સુધીમાં દરિયાઇ સ્તર 0.15 મીટર ઊંચુ આવશે. જ્યારે ખેતીમાં કામ કરતાં લોકો પર ભારે અસર થશે, 50% રોજગારી પર જોખમ ઉભું કરશે. દરિયાઇ વિસ્તારના 1 કરોડ લોકોને અસર 25 વર્ષમાં ઉનાળામાં સરેરાશ તાપામન 4.6 ડિગ્રી વધ્યું

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:24 am

ભૂવાની સમસ્યા બારમાસી થઈ:5 વર્ષમાં માત્ર 5 ઝોનમાં 332 ભૂવા પુરવા 19 કરોડ ખર્ચાયા

શહેરમાં ભૂવાની સમસ્યા ચોમાસા પૂરતી નહીં પણ બારમાસી બની ગઈ છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 5 ઝોનમાં 332 ભૂવા પડ્યા છે. જેના રિપેરિંગ પાછળ મ્યુનિ.એ 18.92 કરોડ ખર્ચી નાખ્યા છે. ભૂવા ન પડે તે માટે મ્યુનિ.એ જૂની ગટરલાઈનો રિહેબ કરવાની કામગીરી શરૂ કરી છે. શહેરમાં પશ્ચિમ ઝોનમાં જ સૌથી વધુ 147 ભૂવા પડ્યા છે. જૂની જર્જરિત થયેલી ગટર લાઇનોને કારણે ભૂવા પડી રહ્યા છે. ત્યારે આ ગટર લાઈનોને સુદૃઢ કરવા તમામ ગટરલાઈન રિહેબ કરાઈ રહી છે. 132 ફૂટ રિંગ રોડ, પ્રભાત ચોક અને વેજલપુર એસપી ઓફિસ રોડ પર ગટર રિહેબની કામગીરી અંતિમ તબક્કામાં છે. કોટ વિસ્તાર અને મધ્ય ઝોનમાં ગટર લાઈનો અતિ જૂની હોવાથી ત્યાં લાઈનો બદલવાની પ્રક્રિયા ચાલુ છે. માત્ર પશ્ચિમ ઝોનમાં જ સૌથી વધુ 147 ભૂવા પડ્યા

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:20 am

વેધર રિપોર્ટ:સેટેલાઈટ સરવેમાં શહેરના 46 વિસ્તાર ‘હોટસ્પોટ’ જાહેર, જ્યાં સામાન્ય કરતાં ગરમી 30 વધુ લાગે છે

શહેરમાં ઘાટલોડિયા, જોધપુરમાં 37.8 ડિગ્રી તાપમાન હોય ત્યાં બહેરામપુરા રિવરફ્રન્ટ, ઇસનપુર, દાણીલીમડા ચંડોળા, જેવા વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. મ્યુનિ.એ એક સ્ટાર્ટઅપ સંસ્થા સાથે કરેલા એમઓયુ બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગરમીની સેટેલાઇટ મારફતે સમીક્ષા કરાઈ હતી. જેથી હીટવેવ દરમ્યાન આ વિસ્તારમાં લોકોને વધુ તકેદારી રાખવા માટે સૂચન કરી શકાય. આવા 200થી વધારે સ્પોટ શોધાયા છે. જ્યારે તે પૈકી 46 સ્પોટ એવા જ્યાં સામાન્ય ગરમી કરતાં 2થી 3 ડિગ્રી વધારે અનુભવાય છે. મ્યુનિ. દ્વારા સેટલિયો લેબ્સ નામના એક સ્ટાર્ટઅપ સાથે કરાયેલા એમઓયુ પ્રમાણે સેટેલાઇટ ઇમેજને આધારે શહેરના ક્યા વિસ્તારો સૌથી વધારે ગરમ રહે છે તે શોધવામાં આવ્યા છે. તે માટે પ્રતિદિન અભ્યાસ કરવામાં આ‌વી રહ્યો છે. પૂર્વમાં આ કારણોસર ગરમી વધુ વર્તાય છે આ છે સૌથી વધારે હિટ ધરાવતા વિસ્તારો

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:19 am

વાલીઓને રાહત:નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન-રિક્ષા ભાડાંમાં વધારો નહીં

મોંઘવારી અને વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશનની રવિવારે પાલડીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ જે ભાડું ચાલી રહ્યું છે તે જ યથાવત્ રખાશે. બેઠકમાં મોંઘવારી, ઇંધણના વધતા ભાવ અને વાલીઓની હાલતને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી ભાડાં ન વધારવાનો નિર્ણય કરાયો છે. યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સીએનજી અને પેટ્રોલના ભાવમાં વધારો થવા છતાં, વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે જૂના દર ચાલુ રાખવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રમાં 11 જૂન 2024ના રોજ નક્કી કરાયેલા ભાડા દર જ લાગુ રહેશે. હાલ રૂ.600થી 1800 સુધી ભાડું લેવાય છે નોંધ : વિસ્તાર-સ્કૂલના અંતર મુજબ ભાડું અલગ હોઈ શકે છે. સીએનજીના ભાવ વધશે તો ફરી બેઠક બોલાવી પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશેજો આવનારા સમયમાં સીએનજીના ભાવમાં વધારો થશે તો ફરી બેઠક બોલાવી પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. સ્કૂલ વાન-રિક્ષાચાલકોને આરટીઓના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે. - ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ, પ્રમુખ સ્કૂલ વર્ધી એસોસિએશન

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 5:18 am