દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સોમનાથ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના સરદાર પરિસરમાં યોજાશે, જેમાં વિવિધ કલાકારો દેશભક્તિ, લોકસંસ્કૃતિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ રજૂ કરશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈણાજ કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે કાર્યક્રમની સફળતા માટે સંલગ્ન તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સોમનાથ જેવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે યોજાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો ન રહે, પરંતુ દેશપ્રેમ, એકતા અને ભારતીય સંવિધાનના મૂલ્યોને ઉજાગર કરતો બની રહે તે દિશામાં આયોજન થવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની સુવિધા, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સરદાર પરિસરમાં બેઠક વ્યવસ્થા, મંચ સજ્જા, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ, વીજ પુરવઠો, આરોગ્ય અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા, ટ્રાફિક તથા સુરક્ષા વ્યવસ્થાઓ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓને તેમની જવાબદારીઓ સોંપી યોગ્ય આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ખેતીવાડી, પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા સોમનાથ સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત MKS આલ્કલીઝ એન્ડ કેમિકલ પ્રા. લી. અને જે.કે. ઈન્ટરનેશનલ ટ્રેક લિંક સહિતની 11 પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ કર્યો છે. 5 કરોડની કરચોરી મામલે કેયુર દિપક શાહ અને રોમલ વિનોદકુમાર બાફનાની ધરપકડ કરી છે. કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ હતી. જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું ફલિત થયેલ. તદુપરાંત, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જણાયુ હતું. રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવીરેકોર્ડ આધારિત ચકાસણી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવેલ. આમ, આ તપાસો દરમિયાન મળી આવેલ કર ચોરીની રકમ રૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઇ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલ. જેઓને કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય GST વિભાગ કરચોરી સામે કડક કાર્યવાહી કરવા અને સરકારની આવકનું સંરક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સુનિશ્ચિત કરે છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર સ્થાને હિતેન્દ્રસિંહ ચૌહાણે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રદેશ કારોબારી સભ્ય ડો. ભરત ડાંગર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોએ પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, આ મહાનુભાવોએ મંદિરના પટાંગણમાં હાજર રહી સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ કરવી ભારે પડી છે. પહેલા B.com સેમ 1ની પરીક્ષાની તારીખ 22થી શરૂ થતી હોવાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. CAની પરીક્ષા 22 તારીખે હોવાથી B.com ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 22 તારીખની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવવામાં આવી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા 30 હજાર જેટલી હોલ ટિકિટ ફરી છાપવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓને બોલાવીને નવી હોલ ટિકિટ સોંપવામાં આવી હતી. જોકે, તે બાદ પરીક્ષા નિયામક અને કોમ્પ્યુટર સેન્ટરના ડિરેક્ટર દોષનો ટોપલો એક બીજા પર થોપવા લાગ્યા હતા. તેમજ બંને વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી જૂની હોલ ટિકિટમાં તારીખની સિક્વન્સ પણ ખોટી રીતે ગોઠવવામાં આવી હતી. યુનિવર્સિટીની ભૂલના કારણે નવી હોલ ટિકિટનો ખર્ચો વિદ્યાર્થીઓની ફીમાંથી વસૂલવામાં આવશે. 59 વર્ષીય વૃદ્ઘ સાથે 60 હજારની સાયબર ઠગાઈઆંબાવાડીમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધને 5 મહિના પહેલા બેંકનો મેસેજ આવ્યો હતો. જેમાં 10 હજારના 12 ટ્રાન્ઝેક્શન થયા હતા. જેથી તેમણે ક્રેડિટકાર્ડમાંથી થયેલા ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે બેંકમાં ફોન કર્યો હતો. આ ટ્રાન્ઝેક્શન રોકવામાં આવે તે પહેલા 60 હજાર રૂપિયા કોઇ ઓનલાઇન શોપિંગ એપમાં ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને જાણ કરી હતી. જે બાદ તે અરજી એલિસબ્રિજ પોલીસને ટ્રાન્સફર કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવક પર ત્રણ લોકોનો હુમલોકુબેરનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે ગઈકાલે કપડાની ખરીદી કરવા કોટ વિસ્તારમાં ગયો હતો. બપોરે તે ઘીકાંટા કોર્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્રણ શખસોએ આવીને યુવકને ઢોર માર માર્યો હતો. જોકે ત્રણ પૈકી એક આરોપીની પત્ની સાથે આ યુવકને આડા સંબંધ હોવાનો વ્હેમ રાખીને તેના પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને માર મારનારા ત્રણ લોકો સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં પાનમ સિંચાઈ વિભાગના પાણી વિતરણ શિડ્યુલ સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલથી નારાજ ખેડૂતોએ સમયસર પાણી ન મળવાની ભીતિ વ્યક્ત કરી છે, જેના કારણે 1000 હેક્ટરથી વધુ ઉનાળુ પાક સુકાઈ જવાનો ભય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્તમાન શિડ્યુલ ખેતી માટે અનુકૂળ નથી. તેઓ ડાંગરના પાકને બચાવવા માટે 1 ફેબ્રુઆરીથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં અંદાજે 1000 હેક્ટરથી વધુ જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ખેડૂતોના મતે, જો 21 ફેબ્રુઆરી સુધી પાણી રોકી રાખવામાં આવશે, તો પાણીના અભાવે ડાંગરનો પાક સુકાઈ જશે અને તેમને મોટું આર્થિક નુકસાન થશે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું કે, આ બાબતે સિંચાઈ વિભાગને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં શિડ્યુલમાં કોઈ ફેરફાર ન થતાં ખેડૂતોએ આજે રોષ પ્રગટ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણી છોડવાનો નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
IND vs NZ T20 Match : ભારતનો સ્કોર 10 ઓવરમાં 117/2, અભિષેકની ફિફ્ટી, સૂર્યાની પણ દમદાર બેટિંગ
India vs New Zealand First T20 Cricket Match Score : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ ટી20 મેચોની સીરિઝ શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થઈ રહી હોવાથી આ સીરિઝ ખૂબ જ મહત્ત્વની છે. વર્લ્ડકપ પહેલા બેટર, બોલરોને પોતાની પ્રતિભા દેખાડવાની અને ટીમની મજબૂતી દેખાડવાની આ છેલ્લી તક છે. ભારતનો સ્કોર.
દાંતીવાડા તાલુકાના ભાકોદર સ્થિત શ્રી ખેતલા બાપજી મંદિરે રબારી સમાજની ઝોનકક્ષાની બેઠક યોજાઈ હતી. ધાનેરા વિભાગના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ બેઠક સામાજિક બંધારણ અંગે ચર્ચા કરવા માટે મળી હતી. આ બેઠકમાં રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ દ્વારા સમાજને આગળ વધારવા અપીલ કરવામાં આવી હતી. સમાજ સુધારણા અને ભવિષ્ય નિર્માણના હેતુથી આયોજિત આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો. ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન આગામી ૨૫ જાન્યુઆરી, રવિવારે શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ, સમશેરપુરા ખાતે યોજાનાર છે. આ મહાસંમેલનના આયોજન માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય અને દાનવીર ભામાશા માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને મહાસંમેલનના ભોજન દાતા ડી.કે. દેસાઈ (દામા)ની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. માવજીભાઈ દેસાઈએ રબારી સમાજને કુરિવાજોથી થતા ખોટા ખર્ચાઓ અટકાવી સામાજિક બંધારણમાં સહભાગી બનવા અને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા હાકલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને યુવાનોએ સમાજ સુધારણા તરફ વળવા માટે વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકને સફળ બનાવવા માટે આગેવાનો સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
NMC દ્વારા 'ચિંતન શિબિર 2026'નું આયોજન:શહેરના સર્વાંગી અને ટકાઉ વિકાસ પર મનોમંથન
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે નિષ્ણાતોની હાજરીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં AI, ઈ-ગવર્નન્સ અને ટાઉન પ્લાનિંગ જેવા વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫–૨૬ ને “ગુજરાત શહેરી વિકાસ વર્ષ” તરીકે જાહેર કર્યું છે. આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના ભવિષ્યલક્ષી આયોજન માટે NMC ટાઉન હોલ ખાતે “ચિંતન શિબિર ૨૦૨૬”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી શહેરી વિકાસના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વિકાસ માત્ર કાગળ પર મર્યાદિત ન રહેતા તેનું પાયાના સ્તરે અસરકારક અમલીકરણ થાય તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના વહીવટદાર ક્ષિપ્રા આગ્રેએ વહીવટી દૃષ્ટિકોણથી આંતરવિભાગીય સંકલન અને વિકાસ યોજનાઓના ઝડપી અમલ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ હાજર રહીને આધુનિક ટેકનોલોજી અને પ્લાનિંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં AI અને ઈ-ગવર્નન્સ, રોડ ડેવલપમેન્ટમાં ગુણવત્તા નિયંત્રણ, પર્યાવરણીય ઇજનેરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ (પાણી, ડ્રેનેજ, વીજળી), અને રિવરફ્રન્ટ તથા જાહેર બગીચાઓના નિર્માણ દ્વારા શહેરના સૌંદર્યીકરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં માત્ર ગંભીર ચર્ચાઓ જ નહીં, પરંતુ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ‘ટીમ બિલ્ડિંગ’ અને ‘ઓફિસ એટિકેટ્સ’ (વ્યાવસાયિક વર્તન) પર પણ સત્રો યોજાયા હતા. ‘Learn with Fun’ અભિગમ હેઠળ વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા અધિકારીઓમાં જૂથ ભાવના કેળવવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમના અંતમાં AB સ્કૂલના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અવેરનેસ પર એક નાટક પ્રસ્તુત કર્યું હતું. જેણે ઉપસ્થિત તમામને આગ સામે સુરક્ષા અને સાવચેતીનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ શિબિર નવસારીના વિકાસમાં નવી ઉર્જા અને દિશા આપનારી સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી એક ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 57.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 70.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી, વાહનોમાં છુપાવીને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ચોક્કસ માહિતી મેળવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ L.C.B. અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર મોરવાડ ગામના પુલ પાસેથી એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટ્રક (રજી.નં. GJ 01 CX 4077) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા, સોયાબીનના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 750 એમ.એલ.ની કુલ 4396 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત 57,60,600 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 580 સોયાબીનના મીણીયાની થેલીઓ (કિંમત 2,61,000 રૂપિયા), ટ્રક (કિંમત 10,00,000 રૂપિયા) અને એક મોબાઈલ ફોન (કિંમત 5,000 રૂપિયા) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ 70,26,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર રામભાઈ અજાભાઈ મોરી (રહે. ફુલીવાવ નેશ, નાગકા ગામ, તા./જી. પોરબંદર) ને પકડી પાડી તેની વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ ગામ, તા./જી. પોરબંદર), ભીલવાડાની સહયોગ હોટલ ખાતે દારૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર જામનગરનો અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામગીરી L.C.B. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ તથા સ્ટાફના પ્રવિણભાઈ કોલા, કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં બાકી મિલકત વેરા સામે કડક રિકવરી અને સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 100થી વધુ કર્મચારીઓની ટીમે કાર્યવાહી કરી 47 મિલકતોને સીલ કરી હતી. ગઇકાલે એક જ દિવસમાં તંત્રને ત્રણેય ઝોનમાંથી કુલ 1.60 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રૂ. 454 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ. 334 કરોડની વસૂલાત પૂર્ણ કરી છે. મનપા તંત્ર દ્વારા રહેણાંક, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક એકમોના એવા મિલકત ધારકોની યાદી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, જેનો 5,000 કે તેથી વધુનો વેરો બાકી છે. અને તાકીદ પણ કરવામાં આવી છે કે, જો બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા, નળ કનેક્શન કાપવા અને મિલકતની હરાજી જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને મિલકતધારકો ઓનલાઈન માધ્યમ, વોર્ડ ઓફિસ તેમજ સિટી સિવિક સેન્ટર પર જઈને પોતાનો વેરો જમા કરાવી રહ્યા છે. મનપામાં સ્ટ્રીટલાઇટની 9 મહિનામાં 40985 ફરિયાદો નોંધાઈરાજકોટ મહાપાલિકામાં ડ્રેનેજ બાદ સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઇટ વિભાગમાં મળી રહી છે. જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 1-4-25થી 31-12-25 દરમિયાન શહેરમાં એલઇડી લાઇટને લગતી કુલ 40985 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં સૌથી વધુ વોર્ડ નં.13માં 3624 અને સૌથી ઓછી વોર્ડ નં.2માં 1109 ફરિયાદોનો સમાવેશ થાય છે. તંત્રના જણાવ્યા અનુસાર નોંધાયેલી તમામ ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. શહેરમાં હાલ કુલ 79964 સ્ટ્રીટલાઇટ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં નવી 1539 લાઈટોનો ઉમેરો કરાયો છે. સૌથી વધુ 7065 લાઈટો વોર્ડ નં.3માં આવેલી છે. ફરિયાદોના પ્રકાર પર નજર કરીએ તો સૌથી વધુ 25257 ફરિયાદો વ્યક્તિગત લાઈટ બંધ હોવાની અને 13451 ફરિયાદો આખો વિસ્તાર બંધ હોવાની નોંધાઈ હતી. આ ઉપરાંત એંગલ બદલવા માટે 545, ડેમેજ લાઈટની 901 અને શોર્ટસર્કિટની 251 ફરિયાદો સામેલ છે. મનપા દ્વારા મેન્ટેનન્સ માટે અલગ-અલગ એજન્સીઓને કામ સોંપાયું હોવા છતાં ફરિયાદોનું પ્રમાણ ચિંતાજનક રહ્યું છે. રાજકોટ મનપાએ કપાતના નામે ખેડૂતો પાસેથી પ્લોટ લઈ લીધારાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમમાં 40 ટકા કપાતના નામે ખેડૂતો પાસેથી મોટી માત્રામાં જમીન મેળવી તેનું વેચાણ કરવાની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાએ અત્યાર સુધીમાં વિવિધ હેતુઓ માટે અનેક પ્લોટ ખેડૂતો પાસેથી મેળવ્યા છે, જેની કિંમત અબજો રૂપિયા થવા જાય છે. તાજેતરમાં મનપાએ 7 પ્લોટની હરાજી દ્વારા 360 કરોડ ઊભા કરવાની હિલચાલ શરૂ કરી છે, જેમાંથી 3 પ્લોટના વેચાણ મામલે અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. મનપાના રેકોર્ડ મુજબ સંપાદિત કરાયેલા પ્લોટમાં આવાસ માટે 448, ગાર્ડન માટે 415, વાણિજ્ય હેતુ માટે 369, રહેણાંક માટે 133, જાહેર હેતુ માટે 106, પાર્કિંગ માટે 79 અને સ્કૂલ-પ્લે ગ્રાઉન્ડ માટે 71 પ્લોટનો સમાવેશ થાય છે. નિયમ મુજબ આ જમીન લોક સુખાકારી માટે વાપરવાની હોય છે પરંતુ, મનપા 502 જેટલા રહેણાંક અને વાણિજ્ય પ્લોટ વેચીને રોકડી કરવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કચ્છના માંડવી ખાતે 14 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન આયોજિત રાજ્યકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં જામનગર એનસીસી ગ્રુપના 594 આર્મી અને નેવી કેડેટ્સ પેરાસેલિંગની તાલીમ લઈ રહ્યા છે. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ સાહસિક તાલીમનો ઉદ્દેશ્ય કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત) ગ્રુપ કેપ્ટન એન.એસ. શોકીનના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, પ્રમાણિત ટ્રેનર્સ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવી રહ્યા છે. આ તાલીમમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ અનુભવ કેડેટ્સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો પૂરી પાડે છે. પેરાસેલિંગ તાલીમ કેડેટ્સના આત્મવિશ્વાસ, હિંમત અને અનુકૂલનક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહી છે. આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા, શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી. શશીએ કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી, પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. કેડેટ્સના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે એનસીસી આવી રોમાંચક તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. બ્રિગેડિયર પી. શશીએ કેમ્પમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. તેમણે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત પણ કર્યા હતા. પેરાસેલિંગ ઉપરાંત, આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાનપ્રદાન, ડ્રોનનું લોકેશન સ્પોટિંગ-ઓપરેટિંગ, દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો, નાગરિક સંરક્ષણ અને પ્રાથમિક સારવાર જેવી ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે એક સીમાચિહ્નરૂપ છે, જે એનસીસીના સૂત્ર 'એકતા અને શિસ્ત' અનુસાર જવાબદાર, આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે.
અમે ગ્રીનલેન્ડ પર કબજો કરવા મિલિટરી પાવરનો ઉપયોગ કરી શકીએ છીએઃ દાવોસમાં ટ્રમ્પની ચીમકી
Donald Trump statement: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં પોતાનું ભાષણ આપ્યું, જેમાં ટ્રમ્પે કહ્યું કે, ખૂબસૂરત દાવોસમાં પાછા આવવું ખૂબ જ આનંદદાયક છે. અહીં ઘણા બધા બિઝનેસ લીડર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા દુશ્મનો છે, અને બધા સન્માનિત મહેમાનો છે. 'યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી'
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ₹16 કરોડના ખર્ચે નવા પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આ ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી. કે. પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી કમલેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે, 'મોડર્નાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ' અંતર્ગત આશરે ₹16 કરોડના ખર્ચે કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાના કર્મચારીઓ માટે આધુનિક આવાસો અને નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ પોલીસ પરિવારોની સુવિધામાં વધારો કરવાના હેતુથી હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાંતિ અને પ્રજાના સુખ માટે 24 કલાક કાર્યરત પોલીસ જવાનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. માલવણ ખાતે નિર્માણ પામનારા આ આવાસો પાર્કિંગ, ગાર્ડન અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પોલીસ વિભાગના માળખાગત વિકાસ માટે કટિબદ્ધ છે. રાજ્યભરમાં પોલીસ જવાનોને વહેલી તકે ગુણવત્તાયુક્ત આવાસો મળી રહે તે લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે. આ નવા આવાસોથી આ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જનતાની સુરક્ષા માટે તૈનાત રહે છે, ત્યારે તેમને અને તેમના પરિવારને ઘર જેવું સુરક્ષિત વાતાવરણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. ધારાસભ્ય પી.કે. પરમારે આ ખાતમુહૂર્તથી પોલીસ જવાનોના જીવનધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, માલવણ પોલીસ સ્ટેશન પાસે લાંબા સમયથી પોતાની બિલ્ડીંગ નહોતી અને સાથે જ પોલીસ કર્મીઓને રહેવા માટે અહીં પોલીસ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. અહીં 24 પોલીસ આવાસ તથા એક પીએસઆઈ ક્વાર્ટર મંજૂર થઈને તેનું કામ પણ ઝડપથી શરૂ થઈ ગયું છે. આ પોલીસ સ્ટેશન ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે, કારણ કે તે કચ્છના હાઈવે પર આવેલું છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, અગ્રણી દિલીપભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત, નિકુંજ પટેલ, પીઆઇ મહેશ બાંમબા સહિત મોટી સંખ્યામાં પોલીસ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ અને સાંસદ ડૉ. હેમાંગ જોષી પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા.અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદના તેમના આ પ્રથમ પ્રવાસ નિમિત્તે ભાજપના આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ શહેરમાં બાઈક રેલીનું પણ આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામ સ્થિત સાઈ મંદિરથી ભોલાવના આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ભાજપના ધ્વજ સાથે જોડાયા હતા,જેના કારણે શહેરમાં રાજકીય માહોલ જોવા મળ્યો હતો.બાઈક રેલી બાદ ભોલાવ સ્થિત આત્મીય ભવન ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ વૃષભ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડૉ.હેમાંગ જોષીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત તેમજ અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. તેમણે આવનારા સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટે સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યને ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને વધુ બળ મળશે. વાઘ સંરક્ષણ માટે સ્થાનિકોની ભાગીદારી સાથે કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમનું આયોજનવન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી નોંધાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યાં વાઘ સ્થાયી થવાની પૂરતી સંભાવનાઓ હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી વાઘ સંરક્ષણ માટે સ્થાનિક લોકોની ભાગીદારી સાથે કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમ આપવાના આયોજન પર ચર્ચા થઈ હતી. ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝિટર્સ પોલિસી ગાઇડલાઇન્સ તૈયારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન્યજીવોને કોઈપણ પ્રકારનું નુકસાન કે ખલેલ ન થાય તે માટે ખાસ કાળજી લેવા વન વિભાગને સૂચના આપી હતી. તેમણે ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝિટર્સ પોલિસી ગાઇડલાઇન્સ તૈયાર કરવાની દિશામાં પણ સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા. 18 જેટલી વિવિધ દરખાસ્તોને મંજૂરી માટે રજૂ કરવામાં આવી આ બેઠકમાં ગુજરાતમાં દીપડાઓની વધતી સંખ્યા અને રેસ્ક્યુ કરાયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અલગ અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અભયારણ્ય અને નેશનલ પાર્ક વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન લાઇન સહિતની 18 જેટલી વિવિધ દરખાસ્તોને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો મહેશ કસવાલા, દેવાભાઈ માલમ, માલતીબેન મહેશ્વરી સહિતના સભ્યોએ વન્યજીવ સંરક્ષણ માટેના સૂચનો રજૂ કર્યા હતા. વન્ય પ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી. સિંઘ તેમજ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ બન્યું સોલારયુક્ત:બનાસકાંઠાનું પ્રથમ ગામ, વીજબિલમાંથી મળી મુક્તિ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું રૂપપુરા ગામ હવે વીજબિલની ચિંતામાંથી મુક્ત બન્યું છે. આ ગામ સંપૂર્ણપણે સોલાર ઊર્જાથી સજ્જ બન્યું છે, જ્યાં મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોને વીજબિલ ભરવું પડતું નથી, પરંતુ ઊલટાનું નાણાકીય બચત પણ થઈ રહી છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, શરૂઆતમાં વીજ અધિકારીઓ અને સોલાર સિસ્ટમના નિષ્ણાતો દ્વારા ગ્રામજનો સાથે ગ્રામસભા યોજવામાં આવી હતી. આ સભામાં સોલાર ઊર્જાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેના પરિણામે ગ્રામજનોએ સોલાર સિસ્ટમ અપનાવવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સોલાર સિસ્ટમ લગાવવાથી તેમને વીજબિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને વાર્ષિક રૂ. 5,000 થી 7,000 સુધીની બચત થાય છે. આ સિસ્ટમનો સ્થાપના ખર્ચ પણ ત્રણથી પાંચ વર્ષમાં વસૂલ થઈ જાય છે. સામાન્ય રીતે, 3.30 કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો ખર્ચ આશરે રૂ. 1.50 લાખ થાય છે. જોકે, સરકાર દ્વારા રૂ. 78,000ની સબસિડી આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકને રૂ. 70,000 થી 80,000 જેટલી રકમ ચૂકવવી પડે છે. સરકારી સબસિડી ઉપરાંત, બનાસ ડેરી દ્વારા ગામના પશુપાલકોને 90% લોન પૂરી પાડવામાં આવી હતી. આનાથી ગ્રાહકો પર આવતું રૂ. 70,000 થી 80,000નું નાણાકીય ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું. બનાસ ડેરીએ પશુપાલકોના ખાતામાંથી માસિક હપ્તા રૂપે નજીવી રકમ કાપીને લોન ચૂકવવાની સુવિધા આપી, જેનાથી ગ્રામજનોને સોલાર સિસ્ટમ અપનાવવામાં સરળતા રહી. સરકારની સબસિડી અને બનાસ ડેરીના સહયોગથી રૂપપુરા ગામના લોકોએ સોલાર ઊર્જા અપનાવીને બચત કરવાનું શરૂ કર્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે. વારંવારની સૂચના છતાં વેરો ન ભરનારા 8,260 બાકીદારોને આખરી નોટિસ ફટકારી કુલ રૂ. 7.26 કરોડની વસૂલાત કરવામાં આવી છે, . જ્યારે જપ્તીની કાર્યવાહી હેઠળ 78 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. મિલકતવેરો બાકી હોય એવી 78 મિલકત સીલ કરવામાં આવીગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકી વસૂલાત અને નિયમ પાલન અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મનપાએ વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં 78 મિલકતો સીલ કરી છે. જ્યારે કાયદાકીય જોગવાઈ હેઠળ બંધ મિલકતોના ધારકોને લાખોની રાહત પણ આપી છે. મિલકતવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે કરદાતાઓએ સમયમર્યાદામાં વેરો ભર્યો ન હતો તેવા 8,260 લોકોને આખરી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના પરિણામે રૂ. 7.26 કરોડની વસૂલાત થઈ છે. જોકે નોટિસ બાદ પણ ઉદાસીનતા દાખવનારા 78 મિલકત ધારકો સામે ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી તેમની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષમાં રૂ. 69.09 કરોડના વેરાની વસૂલાતચાલુ નાણાંકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 1.26 લાખથી વધુ કરદાતાઓ પાસેથી રૂ. 69.09 કરોડનો વેરો વસૂલ થયો છે. જેમાં 47% કરદાતાઓએ એટલે કે 71,091 લોકોએ ડિજિટલ માધ્યમથી રૂ. 32.15 કરોડની ચૂકવણી કરી છે, જ્યારે 53% લોકો એ ઓફલાઇન માધ્યમથી ચૂકવણી કરી છે. વધુમાં વિભાગ દ્વારા કહેવાયું છે કે,જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ જે મિલકતો વપરાશમાં નથી તેવી બંધ અને ખાલી મિલકતોને વેરામાં રાહત આપવામાં આવી છે.ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન મહાનગર પાલિકાએ કુલ 719 મિલકત ધારકોની અરજીઓને ગ્રાહ્ય રાખી છે. આ અંતર્ગત મનપા દ્વારા કુલ રૂ. 38.98 લાખ જેટલી રકમની વેરા માફી મંજૂર કરી કરદાતાઓને આર્થિક રાહત આપી છે.
કાકણપુર યાર્ડમાં ડાંગર ખરીદી 30% વધી:ટેકાના ભાવે ખેડૂતોને વધુ વળતર મળ્યું
ગોધરા તાલુકાના કાકણપુર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે ડાંગરની ખરીદીમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ અને પારદર્શક વહીવટને કારણે ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. આંકડાકીય વિગતો અનુસાર, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 58,800 કટ્ટા એટલે કે અંદાજે 20,612 ક્વિન્ટલ ડાંગરની આવક થઈ છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આશરે 45,000 કટ્ટા એટલે કે 15,750 ક્વિન્ટલ ડાંગરની ખરીદી થઈ હતી. હાલમાં સરકાર દ્વારા ₹474 પ્રતિ મણના ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. ખુલ્લા બજાર કરતાં ટેકાના ભાવ વધુ ફાયદાકારક હોવાથી કાકણપુર પંથકના ખેડૂતો પોતાનો પાક સીધો યાર્ડમાં લાવી રહ્યા છે. યાર્ડમાં પાક લઈને આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં વ્યવસ્થા અને નાણાંની ચુકવણી પ્રક્રિયા પણ વધુ સરળ બની છે.
ભરૂચ NH-48 પર કાર શોરૂમના વર્કશોપમાં આગ:GNFC ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો, મોટી દુર્ઘટના ટળી
ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર-48 પર વડદલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ ફોરવ્હીલર શોરૂમના વર્કશોપમાં આજે સાંજે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે વર્કશોપ અને શોરૂમમાં હાજર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ તાત્કાલિક જીએનએફસી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે હાજર લોકોએ રાહત અનુભવી હતી. જોકે, આ આગમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
યાત્રી કૃપયા ધ્યાન દે:પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને વેરાવળ માટે ત્રણ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો શરૂ
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અઠવાડિયે 3 પેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના PRO વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, વિશેષ ભાડા પર કુલ ત્રણ પેર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ બંને ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશેટ્રેન નંબર 09009/09010 બાન્દ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09009 દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી સાંજે 7:25 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 9:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09010 દર સોમવારે ભુજથી બપોરે 2 વાગ્યેથી ઉપડીને બીજા દિવસે સવારે 5:10 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ટ્રેન નંબર 09017/09018 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09017 દર રવિવારે બપોરે 2:40 વાગ્યે બાન્દ્રા ટર્મિનસથી ઉપડીને બીજા દિવસે સવારે 8:5 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09018 દર સોમવારે સવારે 11:5 વાગ્યે વેરાવળ થઈને બીજા દિવસે સવારે 4:55 મિનિટે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશેટ્રેન નંબર 09011/09012 બાન્દ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09011 દર મંગળવારે રાત્રે 11:55 વાગ્યે બાન્દ્રા ટર્મિનસથી ઉપડીને બીજા દિવસે બપોરે 2:30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. જ્યારે ટ્રેન નંબર 09012 દર બુધવારે સાંજે 5 વાગ્યે 40 મિનિટે ભુજથી ઉપડીને બીજા દિવસે સવારે 8:45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ તમામ ટ્રેનો બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે. ટ્રેનોમાં એસી ટુ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. ટ્રેન નંબર 09009, 09010, 09011, 09012, 09017 અને 09018 માટેની બુકિંગ 22 જાન્યુઆરી 2026થી તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ગોધરા રેલવે ટ્રેક પાસે સૂકા ઝાડી-ઝાંખરા:મુંબઈ-દિલ્હી રૂટ પર દુર્ઘટનાનો ભય, સુરક્ષા સામે પ્રશ્નો
ગોધરા રેલવે સ્ટેશન નજીક ટ્રેકની બંને બાજુએ સૂકા ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પશ્ચિમ રેલવેના વ્યસ્ત મુંબઈ-દિલ્હી રૂટ પર ગોધરા સેક્શનમાં આ સ્થિતિ ગંભીર બેદરકારી સૂચવે છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ રૂટ પરથી રાજધાની એક્સપ્રેસ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત, પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો ભરેલા માલવાહક વેગનો પણ અહીંથી પસાર થાય છે. સૂકા ઘાસમાં નાની ચિંગારી પણ ભયાનક આગનું કારણ બની શકે છે. જો આવા સંજોગોમાં જ્વલનશીલ ટેન્કરો ત્યાંથી પસાર થતા હોય, તો મોટી જાનહાનિ અને માલહાનિ થવાની શક્યતા છે. આ સ્થિતિ રેલવે સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ ઉપરાંત, ટ્રેકની આસપાસ ફેલાયેલી આ ગીચ ઝાડીઓ અસામાજિક તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગઈ છે. ટ્રેન જ્યારે આઉટર પર ઊભી હોય અથવા ધીમી ગતિએ ચાલતી હોય, ત્યારે આ તત્વો ઝાડીઓનો આશરો લઈને મુસાફરોનો સામાન ચોરવાની ઘટનાઓને અંજામ આપે છે. અંધારાનો લાભ લઈને તેઓ ટ્રેક પરથી ગાયબ થઈ જાય છે, જેના કારણે રેલવે પોલીસને પણ તેમને પકડવામાં મુશ્કેલી પડે છે.
અમદાવાદની એક સમયની ગરીબો માટેની હોસ્પિટલ ગણાતી એવી વાડીલાલ સારાભાઈ (VS) જનરલ હોસ્પિટલમાં ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની મહેરબાનીથી દર્દીઓમાં એટલો ઘટાડો થયો છે કે હવે તેના બજેટમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ 207 કરોડનું રજુ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દર વર્ષે રીપેરીંગ ખર્ચ અને કલરકામ માટે ખર્ચ કરવામાં આવે છે. જે ફરીથી બજેટમાં મૂકવામાં આવ્યું છે, દર વર્ષે બજેટમાં જાહેરાત કરાય છે પરંતુ, કામગીરી કરાતી નથી. ગત વર્ષ કરતાં 37.80 કરોડનું ઓછું બજેટ રજૂ કરવામાં આવ્યું આજે વી.એસ. હોસ્પિટલનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે રૂપિયા 244.90 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. ચાલુ વર્ષે 207 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે કે ગત વર્ષ કરતાં 37.80 કરોડનું ઓછું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2026- 27ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય હેરિટેજ બિલ્ડીંગ અને ચિનાઈ પ્રસુતિ ગૃહ તેમજ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર તેમજ નર્સિંગ સ્કૂલના સમારકામ અને રંગરોગાન પાછળ 41 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ જ એક કરોડ રૂપિયાનો ખર્ચમ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 203 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. હોસ્પિટલને દર વર્ષે માત્ર 1.80 રોડની આવક થાય છે જ્યારે બે કરોડ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવે છે. વી.એસ. હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ જ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અકસ્માતની સારવાર લેવા માટે એક પણ દર્દી આવ્યા નથીવી.એસ. હોસ્પિટલમાં સતત દર્દીઓ અને સુવિધાઓમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અત્યારે હાલમાં 203 બેડની હોસ્પિટલ કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતની સારવાર લેવા માટે એક પણ દર્દી આવ્યા નથી. દર્દીને સારવાર આપવામાં આવી નથી. વી એસ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ નથી. ન્યુરો સર્જરી અને સીટી સ્કેનનો વિભાગ નથી. સુપર સ્પેશિયાલિટીની સુવિધાઓ તેમજ 24 કલાક માટે એમઆરઆઇ અને સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે વી એસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માતના કેસો આવતા નથી. નાના-મોટા જે કેસ આવે છે તે ઓર્થોપેડિક અને સર્જન મારફતે સારવાર કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની PMJAY યોજના હેઠળ પણ હવે દર્દીઓ સારવાર લેવા માટે વીએસ હોસ્પિટલમાં આવતા નથી. ગત વર્ષ 2023-24માં 645 જેટલા લાભાર્થીઓ દ્વારા સારવારનો લાભ લેવામાં આવ્યો હતો. વર્ષ 2024-25માં 478 દર્દીઓએ અને વર્ષ 2025માં માર્ચથી લઈ ડિસેમ્બર સુધીમાં 214 દર્દીઓએ લાભ લીધો છે. વર્ષ 2024 માં 900 જેટલી નોર્મલ ડિલિવરી ફ્રી જ્યારે વર્ષ 2025 માં 500 જેટલી ડિલિવરીના કેસો આવ્યા છે.
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ ચાલતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા ભારતના 28 રાજ્યોમાં કુલ 1,229થી વધુ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. જેમાં 826 કરોડથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. 9 નકલી પેઢી ઊભી કરી 28 બેંક એકાઉન્ટ ખોલાવ્યાપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઠગાઈ માટે 9 નકલી પેઢીઓ ઊભી કરી હતી અને તેના નામે કુલ 82 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. જેમાં 28 કરંટ એકાઉન્ટ અને 45 સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવા માટે કરવામાં આવતું હતું. ડિજિટલ અરેસ્ટથી લઈને પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ આચરતાઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગની મોડસઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે ખાતાઓ મેળવતા હતા. ત્યાર બાદ SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, UPI ફ્રોડ, ડિપોઝિટ, લોન તથા પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરાયાઆરોપીઓ ઠગાઈથી મેળવેલી રકમ હવાલા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગ દ્વારા અંદાજે 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુંબઇ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. તેમજ વિદેશી કનેક્શન હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આ સમાચાર પણ વાંચો 212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપીની ધરપકડસુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે આ ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટમાં ઉદ્યમ સર્ટિફિકેટથી લઈને GSTના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેઓએ કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ પર બનાવી દીધા અને બેંકના કર્મચારીઓને કાનોકાન ખબર પણ પડી નહીં. હાલમાં બેંક કર્મચારીઓની આ નેટવર્કમાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 719 કરોડનું સાયબર ફ્રોડ, ગેંગની ભાવનગરથી ધરપકડગુજરાત સ્ટેટ સાયબર સેલે 719 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી 10 લોકોની ગેંગની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી હતા. આ ગેંગ ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં 100થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીનાં નાણાંની હેરાફેરી કરતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ 1,544 સાયબર ગુનામાં સક્રિય હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યૂલ એકાઉન્ટ્સ પૂરાં પાડવામાં આવતાં હતાં. ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારનાં ઑનલાઇન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. નાણાંની લેવડદેવડને 3થી 4 સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં હતાં, જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે. વાંચો સંપૂર્ણ સમાચાર ડીસા-મહેસાણાના ગ્રેજ્યુએટો 800 કરોડના સાયબર ફ્રોડના માસ્ટરમાઈન્ડગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાન, BE મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને BCOM દીપ ઠક્કર, જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો. તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બે વર્ષ પૂર્વે બનેલી પત્નીની હત્યાની ચકચારી ઘટનામાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દારૂ પીવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી છે. મહત્વનું છે કે, આ કેસમાં પિતાને જ માતાની હત્યા કરતા જોનાર સગીર પુત્રીની જુબાની આરોપીને સજા અપાવવામાં મહત્વની કડી સાબિત થઈ હતી. આરોપીએ પત્ની સાથે દારૂ પીવા બાબતે ઝઘડો કર્યો હતોઅડાલજ વિસ્તારમાં દારૂ પીવા જેવી નજીવી બાબતે પત્નીની કરપીણ હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટનાની વિગત મુજબ તા. 10 જાન્યુઆરી, 2024ના રોજ અદાણી શાંતિગ્રામની PSP કોલોની સામે દંતાલી રેલ્વે પાટા નજીક બાવળની ઝાડીઓમાં આ હત્યા કરાઈ હતી. આરોપી પતિ મથુરાપ્રસાદ ઉર્ફે સોનુ પ્રજાપતિએ તેની પત્ની દિપીકા સાથે દારૂ પીવા બાબતે ઝઘડો કર્યો હતો. પત્નીને મારી નાખી લાશને દંતાલી રેલ્વે પાટા પાછળ ઝાડીઓમાં છોડી દીધી જેથી, ઉશ્કેરાયેલા મથુરાપ્રસાદે પત્નીને ગડદાપાટુંનો મારામારી કાળા પથ્થરથી માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતકના ભાઈ ભરતકુમાર પ્રજાપતિ બહેનના ઘરે પહોંચ્યા હતા પરંતુ, દીપિકા જોવા નહીં મળતા બનેવીને પૂછતા તેણે પહેલા ગલ્લાતલ્લા કર્યા હતા. આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ એસ.આર. મૂછાળ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે જઈને મથુરાપ્રસાદે કબૂલાત કરી હતી કે, દારૂ પીવા બાબતે ઝઘડો થતા પત્નીને મારી નાખી લાશને દંતાલી રેલ્વે પાટા પાછળ ઝાડીઓમાં છોડી દીધી છે. જે અંગે પોલીસે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરતા બાવળની ઝાડીઓમાંથી દીપિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારીઆ કેસની ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે મૃતકની સગીર પુત્રીની જુબાની લીધી હતી. જેમાં સગીરાએ કોર્ટ સમક્ષ પોતાના પિતાને માતા પર હુમલો કરતા જોયા હોવાની હકીકત જણાવી હતી, જે આ કેસમાં એકમાત્ર અને મજબૂત પ્રત્યક્ષ પુરાવો સાબિત થયો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ ચાર બાળકો હોવા છતાં ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરી છે અને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખી ગાંધીનગર કોર્ટના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. ઉનડકટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના તમામ મંડળ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી. ઉલ્લેખનીય છે કે, હિતેન્દ્રસિંહ ચૌહાણની તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મધ્ય ઝોનના પ્રભારી તરીકે પણ નિયુક્ત કરાયા હતા. હિતેન્દ્રસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લાના વિવિધ મંડળોની મુલાકાત લીધી હતી. તેમણે ભાજપના શક્તિ કેન્દ્રના પ્રમુખ-ઉપપ્રમુખથી લઈને તાલુકા અને શહેરના ભાજપ હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે ચર્ચા કરી પરિચય કેળવ્યો હતો. આ પ્રસંગે ગોધરા શહેરના ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર અને તાલુકા સંગઠનના તમામ કાર્યકર્તાઓની બેઠક લેવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ આગામી ચૂંટણીઓ માટે તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવા અને પોતાની જવાબદારી પ્રમાણે સક્રિય થવા આહ્વાન કર્યું હતું. વધુમાં, પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ ડાંગરે હાજર કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના કાર્યકર્તા તરીકે નવા અધ્યક્ષ નીતિન નવીનને 'બોસ' તરીકે સંબોધ્યા તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનની તાકાતથી જ બહુમતી મેળવી શકાય છે અને સંગઠનની મજબૂતી એ જ જીતની ગેરંટી છે. તેમણે તમામ સંગઠનને અને મંડળના યુવા પ્રમુખોને સાથે મળીને આગામી ચૂંટણીઓ માટે પ્રોત્સાહિત થઈને કામે લાગવા આહ્વાન કર્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની વુમન્સ ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. ટીમ જામનગર એરપોર્ટ પર પહોંચતા જ ત્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ એરપોર્ટથી સીધી રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થઈ હતી. WPLના મેંચ હાલ વડોદરામાં રમાઈ રહ્યા છે. ત્યારે આજે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગર આવી છે. તેઓ રિલાયન્સ ગ્રીન્સ અને વનતારામાં રાત્રિ રોકાણ કરશે.
તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્રાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલી ચોરી કરી હતી. વડોદરા ડિવિઝનના રેલ્વે સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, 14 જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્રાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી, જેની સ્ટેશન પોઇન્ટમેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ઘટનાસ્થળથી લગભગ 20 ફૂટ દૂર ઝાડીઓમાં આશરે 625 કિલો વજનની 13 બોરી ચોખા પડેલી મળી આવી હતી. આ રીતે, ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસમાં, રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને, ગુનેગારોની ઓળખ થઈ. અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું. 18 જાન્યુઆરી, 2026 ના રોજ આરોપીની ધરપકડ બાદ, સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ 23 વર્ષીય મહેશ તરીકે થઈ, જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ 14 જાન્યુઆરી, 2026 ના રોજ અનલોડિંગના દિવસે રેલ્વે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી. અન્ય એક આરોપી, આકાશ, 22 વર્ષીય, સુરતનો રહેવાસી, ને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ, તેણે ગુનો કબૂલ્યો. વધુ તપાસ ચાલુ છે.
પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SSR) પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગોધરા મુસ્લિમ ગાંચી સમાજ શૂરા કમિટીએ આ અંગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કમિટી દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, જિલ્લામાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 16000થી વધુ લોકો સામે વાંધા અરજીઓ (ફોર્મ નં. ૭) દાખલ કરવામાં આવી છે. આ અરજીઓનો મુખ્ય હેતુ આ મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવાનો છે. કમિટીએ જણાવ્યું છે કે વાંધો ઉઠાવવામાં આવેલા મોટાભાગના મતદારો હયાત છે અને સ્થળાંતરિત થયા નથી. તેમણે ખોટા ફોર્મ ભરીને ગેરમાર્ગે દોરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કમિટીએ આ પ્રક્રિયામાં ન્યાયી તપાસ થાય અને BLO (બૂથ લેવલ ઓફિસર) તેમજ જે-તે વિસ્તારના આગેવાનોની હાજરીમાં પંચનામું કરીને યોગ્ય નિર્ણય લેવાય તેવી અપીલ કરી છે. સામાજિક કાર્યકર અનસભાઈ અંધી અને વકીલ ઇમરાનભાઈના જણાવ્યા અનુસાર, જિલ્લા કલેક્ટરે આ બાબતે ખાતરી આપી છે કે ન્યાયના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને કોઈપણ સાચા મતદારનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.
વેરાવળ ST ડેપોમાં ફ્રી નેત્ર-આરોગ્ય તપાસ કેમ્પ:નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત કર્મચારીઓ માટે આયોજન
વેરાવળ એસ.ટી. ડેપો ખાતે 21 જાન્યુઆરીના રોજ 'નેશનલ રોડ સેફ્ટી મંથ–2026'ની ઉજવણીના ભાગરૂપે એક મફત નેત્ર નિદાન અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એસ.ટી. કર્મચારીઓના આરોગ્ય અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને યોજાયો હતો. એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, આ કેમ્પ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (યુનિટ – ઇન્ડિયન રેયોન) અને જન સેવા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. તેમાં ડેપોના ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિક, વહીવટી, ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને અપ્રેન્ટિસ સ્ટાફ સહિતના લોકો માટે આંખોની તપાસ, બ્લડ પ્રેશર અને સુગરની ચકાસણી કરવામાં આવી હતી. આદિત્ય બિરલા હોસ્પિટલ, વેરાવળના નિષ્ણાત તબીબો ડૉ. અસ્કા પટેલ (MD Optho.), ડૉ. તન્વી (મેડિકલ ઓફિસર) અને તેમની ટીમે કર્મચારીઓની આંખોની વિગતવાર તપાસ કરી હતી. આ ઉપરાંત, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની ચકાસણી કરીને જરૂરી તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પારેખના માર્ગદર્શન હેઠળ અને વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર તથા સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક આયોજિત થયો હતો. આ કેમ્પમાં કુલ 77 એસ.ટી. કર્મચારીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. માર્ગ સલામતી માટે વાહનચાલકોની આંખોની દૃષ્ટિ, બ્લડ પ્રેશર અને સુગરનું નિયંત્રણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દૃષ્ટિએ, આવા આરોગ્યલક્ષી કેમ્પો એસ.ટી. કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ કેમ્પથી કર્મચારીઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી હોવાનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આયોજનકર્તાઓએ ભવિષ્યમાં પણ આવા સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દાહોદ જિલ્લામાં વીજ મીટરના સીલ તોડી અને તેમાં ગેરકાયદેસર રીતે ચેડાં કરી કરોડો રૂપિયાની વીજ ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. મીટરના સીલ તોડી ચેડાં કરી વીજચોરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં વીજ કંપનીના કેટલા કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ મામલે વીજ કંપનીના કર્મચારીઓ, એજન્સીના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયાદાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીંમડી, લીમખેડા તેમજ દેવગઢ બારીયા વિસ્તારોમાં વીજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હોવાની સતત ફરિયાદો અને બાતમીના આધારે છેલ્લા ચાર મહિના દરમિયાન વ્યાપક સ્તરે તપાસ અને રેડ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 18/08/2025થી 18/11/2025 દરમિયાન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. રિઝસ્ટર લગાવી વીજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતોકાર્યવાહી દરમિયાન કુલ 33,799 વીજ મીટરોની ચકાસણી કરાઈ હતી. તેમાંથી 1,609 મીટરોના સીલ તૂટેલા હોવાનું સામે આવતા સમગ્ર તંત્રમાં હલચલ મચી ગઈ હતી. શંકાસ્પદ મીટરોને તાત્કાલિક સીલબંધ કરી તાંત્રિક ચકાસણી માટે MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટમાં ખુલ્યું કે, 888 વીજ મીટરોમાં વીજ અવરોધક ઉપકરણ એટલે કે, રિઝસ્ટર લગાવી જાણીબૂઝીને વીજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હતો. ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હોવાની સંભાવનાવીજ નિયામક સંસ્થા GERC દ્વારા નક્કી કરાયેલા ALHAF ફોર્મ્યુલા મુજબ કરાયેલી ગણતરી અનુસાર માત્ર આ મીટરોના કારણે જ અંદાજે રૂ. 10.71 કરોડની વીજ ચોરી થયાની હકીકત સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની ગેરરીતિ લાંબા સમયથી ચાલી રહી હોવાની સંભાવના છે, જેના કારણે સરકારી વીજ કંપનીને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ અનિયમિતતા સામે આવીઆ ઉપરાંત, સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ટેલિસ્માર્ટ એજન્સી દ્વારા કુલ 81 વીજ મીટરો બદલવામાં આવ્યા હતા, જેમાંથી 50 મીટરોની વિગતવાર તપાસ કરાતા 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. આ અનિયમિતતાથી અંદાજે રૂ. 4.048 કરોડનું વધારાનું નુકસાન નોંધાયું છે. જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ આ તમામ ગેરરીતિઓને કારણે કુલ મળીને રૂ. 14.76 કરોડનું આર્થિક નુકસાન MGVCLને થયું હોવાનું અધિકૃત રીતે નોંધાયું છે. વીજ મીટરના સીલ તોડવા અને તેમાં ચેડાં કરવું સ્પષ્ટ રીતે ગુનાહિત કૃત્ય હોવા છતાં, વીજ કંપનીની કામગીરી સાથે સંકળાયેલા કેટલાક ઇસમો તથા ઇન્ટેલિસ્માર્ટ એજન્સીના અધિકારી-કર્મચારીઓએ મળીને ગુનાહિત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. મોટા ભાગના મીટરોમાં એકસરખી મોડસ ઓપરેન્ડીDYSP જગદીશ ભંડારીએ જણાવ્યું કે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા મોટા ભાગના મીટરોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી, જે ગંભીર સંકેત આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને MGVCLના અધિકારીઓ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. DYSP ભંડારીએ જણાવ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સંડોવાયેલું છે, કઈ રીતે સ્કેમ ચલાવવામાં આવતું હતું અને તેમાં MGVCLના કર્મચારીઓ કે કોઈ એજન્સીના કર્મચારીઓ સામેલ છે કે નહીં, તે તમામ દિશામાં વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ ચોક્કસ નામદાર વ્યક્તિ સામે અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વીજ ચોરીમાં ગ્રાહકોને કોણે અને કઈ રીતે મદદ કરી, તે મુદ્દે પણ ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે, તેમના સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના ખ્યાતનામ કે.પી. ગ્રુપ અને પી.પી. સવાણી ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. 'કોયલડી' સમૂહ લગ્ન બાદ, પિતાની છત્રછાયા ગુમાવનારી 133 દીકરીઓને મનાલીના પ્રવાસે મોકલ્યા બાદ, આજે તા. 21/1/2026ના રોજ 18 મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓને તેમના સ્વપ્ન સમાન 'મક્કા-મદીના' (ઉમરાહ) યાત્રા માટે રવાના કરવામાં આવ્યા છે. સુરતના 'મોહિત ફાર્મ' ખાતેથી સવારે 9:00 કલાકે આ નવદંપતીઓને વિદાય આપવામાં આવી હતી. આ 15 દિવસની પવિત્ર યાત્રામાં દીકરીઓનો ઉત્સાહ વધારવા કે.પી. ગ્રુપના ચેરમેન ડો. ફારુક પટેલ પોતે મુંબઈ એરપોર્ટથી પરિવાર સાથે જોડાશે. સંબંધોની મજબૂતી માટે 'ચારધામ જાત્રા'નું આયોજન માત્ર મુસાફરી જ નહીં, પણ પારિવારિક સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે તેવો ઉમદા હેતુ આ આયોજન પાછળ રહેલો છે. જૂન 2026માં આ તમામ દીકરીઓની માતાઓ અને સાસુઓ માટે 'ચારધામ જાત્રા'નું આયોજન કરવામાં આવશે. મહેશભાઈ સવાણી અને ડો. ફારુક પટેલના મતે, ગંગાસ્વરૂપ માતા અને સાસુ વચ્ચેના સંબંધો ગાઢ બનશે તો દીકરીઓના લગ્નજીવનમાં ક્યારેય છૂટાછેડા જેવી ગંભીર સ્થિતિ ઊભી નહીં થાય. હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ ધર્મના ભેદભાવ વગર સમાજમાં ભાઈચારાની લાગણી મજબૂત કરવા માટે આ બંને ગ્રુપ સતત કાર્યરત છે. હિન્દુ દીકરીઓને મનાલી અને મુસ્લિમ દીકરીઓને મક્કા-મદીના મોકલીને ડો. ફારુક પટેલ અને મહેશભાઈ સવાણીએ દેશભરમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પહેલથી સમાજમાં નવો રાહ ચીંધાયો છે.
ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સ્ત્રી પર જાતીય હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પકડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના બાદ, ડાંગ-આહવા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCB ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા સઘન તપાસ શરૂ કરી હતી. માનવીય અને ટેકનિકલ સ્રોતોના આધારે મળેલી ચોક્કસ બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીઓ રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા વિસ્તારમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું. LCB ટીમ તાત્કાલિક રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા પહોંચી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ વાહન વ્યવહાર વિનાના સીમ વિસ્તારમાં વાડી પાસે કામચલાઉ પડાવ બનાવીને રહેતા હતા. રસ્તો ન હોવાથી, ટીમે વેશપલટો કરી કાચા રસ્તે પગપાળા કાંટા-બાવળ અને પાણીમાંથી પસાર થઈ નદી-નાળા ઓળંગી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. આખરે, વોરંટના આધારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન, અન્ય બે આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મેળા સંબંધિત વ્યવસાય માટે ગયા હોવાનું બહાર આવ્યું. આ માહિતીના આધારે, LCB ની એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી અને નાસિક ખાતેથી બાકીના બે આરોપીઓને પણ વોરંટના આધારે પકડી પાડવામાં આવ્યા. તમામ ચાર આરોપીઓને આહવા લાવવામાં આવ્યા, જ્યાં પૂછપરછ બાદ તેમને આગળની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં માનસિંહ રામગોપાલ બાગરીયા, મુકેશ સોરજભાઇ બાગરીયા, રણબીર હરીલાલ બાગરીયા અને ધનપાલ સોરજભાઇ બાગરીયાનો સમાવેશ થાય છે.
સુત્રાપાડા તાલુકાના લોઢાવા ગામે પીવાના પાણીની પાઇપલાઇન માટે ખેતીની જમીન સંપાદિત કરવાની નોટિસ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગર દ્વારા વડોદરા ઝાલાથી વિરોદર સુધીની બલ્ક ક્લિયર વોટર ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે આ નોટિસ આપવામાં આવી છે. જમીન માલિકોએ સત્તાવાર રીતે વાંધા અરજીઓ રજૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આપવામાં આવેલી નોટિસમાં માત્ર જમીન સંપાદનની જાણ કરવામાં આવી છે, પરંતુ સંપાદિત થતી જમીનનું વળતર, પાઇપલાઇન કયા એલાઇમેન્ટથી પસાર થશે અને જમીનમાં થયેલા નુકસાનની ભરપાઈ કેવી રીતે કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ખેડૂતોએ સ્પષ્ટપણે રજૂઆત કરી છે કે આ પ્રોજેક્ટ માટે ફળદ્રુપ ખેતીની જમીન લેવી અનિવાર્ય નથી. પાઇપલાઇન માટે સરકારી પડતર જમીન અથવા રોડ-કેનાલની હદ (ROW) નો ઉપયોગ શક્ય હોવા છતાં સીધી ખેતીની જમીન પસંદ કરવામાં આવી રહી છે, જે ખેડૂતોના હિતો વિરુદ્ધ છે. લોઢાવા ગામના ખેડૂતો કહે છે કે તેમની જમીન અત્યંત ઉપજાવ અને ફળદ્રુપ છે, જેની બજાર કિંમત પ્રતિ એકર આશરે રૂ. ૪૦ લાખ છે. તેમ છતાં, બજાર કિંમત મુજબ વળતર ચૂકવાશે કે નહીં તેની કોઈ ખાતરી નોટિસમાં આપવામાં આવી નથી. આ ઉપરાંત, જમીનમાં આવેલા ફળઝાડ, પાક, બાંધકામ અને અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનો સહિતના નુકસાન અંગે પણ કોઈ સર્વે કે વળતરની વિગતો અપાઈ નથી. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે પાઇપલાઇન માટે ખોદકામ કર્યા બાદ જમીન ફરીથી વાવેતરલાયક બનાવી આપવામાં આવશે કે કેમ, અથવા લેવલિંગ માટે અલગથી વળતર ચૂકવાશે તે બાબત પણ સ્પષ્ટ નથી. ખેડૂતોના મતે, આ સમગ્ર પ્રક્રિયા જમીન સંપાદન અધિનિયમ–૨૦૧૩ ની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ જમીન તેમના પરિવારના જીવનનિર્વાહનો એકમાત્ર આધાર છે. જમીન સંપાદન થવાથી માત્ર જમીન માલિકો જ નહીં, પરંતુ ખેતમજૂરો અને ખેતી પર આધારિત અનેક પરિવારોની આજીવિકા જોખમમાં મુકાશે. ખેડૂતોની માંગ છે કે માત્ર નાણાંકીય વળતરથી આજીવિકાનું કાયમી નુકસાન પૂરું થતું નથી, તેથી જમીન સંપાદન ન થાય. ખેડૂતોએ સત્તાધિકારીઓને માંગ કરી છે કે તેમની વાંધા અરજીમાં રજૂ કરાયેલા તમામ મુદ્દાઓ પર સંપૂર્ણ સ્પષ્ટીકરણ સાથે લેખિત જવાબ આપવામાં આવે અને ત્યારબાદ જ કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા ન્યાયલયના વર્ગ-3 કર્મચારી મંડળની નવી કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં તમામ હોદ્દેદારોની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં મંડળના માળખાને મજબૂત કરવા અને કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા હોદ્દેદારોની વરણી સભામાં લેવાયેલા સર્વાનુમતે નિર્ણય મુજબ, શ્રી ભરતકુમાર સી. મકવાણાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે શ્રી હિતેશ એચ. ભરવાડ સહ-પ્રમુખ, શ્રી મહંમદહઈલિયાસ એમ. પટેલ ઉપ-પ્રમુખ અને શ્રી મહેન્દ્રકુમાર કે. ચૌધરી મહામંત્રી તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા માટે ખજાનચી, ઓડિટર, કાનૂની સલાહકાર અને સોશિયલ મીડિયા કન્વીનર સહિતના પદો પર પણ નિમણૂકો કરવામાં આવી છે. ભવિષ્યનું આયોજન નવી સમિતિએ કર્મચારીઓના હિત અને કલ્યાણ માટે સક્રિયપણે કાર્ય કરવાની ખાતરી આપી છે. સભામાં ઉપસ્થિત સભ્યોએ આ નવી ટીમને આવકારી હતી અને ભવિષ્યની પ્રવૃત્તિઓમાં પૂર્ણ સહકાર આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને મિલકતોના નિકાલની પ્રક્રિયાના ભાગરૂપે આજે એક મહત્વપૂર્ણ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મવડી વિસ્તારનાં નવનિર્મિત લાલુભાઈ પારેખ ટાઉનશીપ શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. 10 દુકાનોની રૂ. 1.85 કરોડ અપસેટ પ્રાઇઝ સામે રૂ. 2.96 કરોડની બોલી લાગી હતી જેમાં મનપાને બેઝ પ્રાઈઝ કરતા રૂ. 1.11 કરોડની વધુ આવક થઈ હતી. મનપા દ્વારા નક્કી કરાયેલી અપસેટ પ્રાઈઝ કરતા રૂ. 1.11 કરોડની વધુ આવકમનપાનાં એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરની તમામ 10 દુકાનો માટે કુલ અપસેટ પ્રાઇઝ રૂ. 1,85,30,000 નક્કી કરવામાં આવી હતી. જોકે વિકાસશીલ મવડી વિસ્તારમાં વ્યાપારી હેતુ માટેની આ મિલકતો મેળવવા માટે હરાજીમાં ભારે રસાકસી જોવા મળી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો અને સંભવિત ખરીદદારો હરાજીના સ્થળે ઉમટી પડ્યા હતા. પારદર્શક રીતે હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં એક પછી એક દુકાનો માટે ઊંચી બોલીઓ બોલાવવાની શરૂઆત થઈ હતી. તમામ દુકાનો વેચાતા મનપાને કુલ રૂ. 2,96,30,000ની આવક થઈ હતી, જે દુકાનોની અપસેટ પ્રાઇઝ કરતા રૂ. 1,11,00,000 જેટલી વધારે છે. એક દુકાનના સૌથી ઊંચા રૂ. 40.60 લાખની બોલી લાગીમનપા દ્વારા લોકેશન અને વિસ્તાર મુજબ અલગ-અલગ અપસેટ પ્રાઇઝ નિર્ધારિત કરાઈ હતી. જેમાં દુકાન નંબર 1 ની અપસેટ પ્રાઇઝ રૂ. 19,60,000, દુકાન નંબર 2 ની રૂ. 15,80,000, દુકાન નંબર 3 ની રૂ. 17,50,000 અને દુકાન નંબર 4 ની રૂ. 15,80,000 રાખવામાં આવી હતી. તેવી જ રીતે દુકાન નંબર 5 અને 6 માટે રૂ. 25,70,000 જેટલી ઊંચી અપસેટ પ્રાઇઝ નક્કી કરાઈ હતી. બાકીની દુકાનોમાં નંબર 7 માટે રૂ. 15,80,000, નંબર 8 માટે રૂ. 17,50,000, નંબર 9 માટે રૂ. 15,80,000 અને દુકાન નંબર 10 માટે રૂ. 16,10,000 ની કિંમત નક્કી કરવામાં આવી હતી. આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણ દુકાન નં 5 અને 6એ જમાવ્યું હતું. તેમજ બંને દુકાનો માટે રોકાણકારો વચ્ચે ભારે હરીફાઈ જોવા મળી હતી. દુકાન નંબર 5 ની રૂ. 25,70,000 ની અપસેટ પ્રાઇઝ સામે રૂ. 40,20,000 ની બોલી બોલાઈ હતી. જ્યારે દુકાન નંબર 6 માં તેનાથી પણ વધુ પ્રતિસાદ મળ્યો હતો, જ્યાં રૂ. 25,70,000 સામે રૂ. 40,60,000 ની આવક થઈ હતી. અને આ બંને દુકાનો આજના દિવસની સૌથી મોંઘી વેચાયેલી મિલકતો સાબિત થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન મનપાના ઉચ્ચ અધિકારીઓ અને એસ્ટેટ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સમગ્ર કાર્યવાહીની દેખરેખ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં થઈ રહેલા ઝડપી વિકાસને કારણે મવડી વિસ્તાર વ્યાપારી પ્રવૃત્તિઓ માટે હોટ ફેવરિટ બન્યો છે. લાલુભાઈ પારેખ ટાઉનશીપમાં દુકાનોની સુવિધા ઊભી થવાથી સ્થાનિક રહીશોને નજીકમાં જ વ્યાપારી સેવાઓ મળી રહેશે. મનપાના જણાવ્યા અનુસાર, હરાજીમાંથી થયેલી આ વધારાની આવકનો ઉપયોગ શહેરના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં કરવામાં આવશે. આ સફળ હરાજી બાદ હવે આગામી દિવસોમાં બાકી મિલકતોના નિકાલ માટે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવશે તેવી શક્યતા છે.
રાજકોટ સ્થિત સરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, અહીં PHDની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીં PHD કરવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પડશે. જેને લઈને આજે ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિની ચેમ્બરમાં રહેલા સ્ટાફને બહાર કાઢી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા હવે PHDમાં ટર્મ ફી પણ ઉમેરાઈયુનિવર્સિટી દ્વારા અગાઉ ટર્મ ફી લેવામાં આવતી ન હતી પરંતુ, હવે તે દાખલ કરવામાં આવી છે. જેમાં સાયન્સ, ફાર્મસી, હોમ સાયન્સ અને મેડિકલ ફેકલ્ટીમાં રૂ.4600 ટર્મ ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય ફેકલ્ટીમાં ફી રૂ.3600 રાખવામાં આવી છે. આ સિવાય લાઇબ્રેરી ફી રૂ.350 હતી. તે રૂ.500 કરી દેવામાં આવી છે. જ્યારે UGCના રેગ્યુલેશન મુજબ 2 વર્ષમાં PHD પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીએ વધારાની રૂ.3000 ફી ભરવાની રહેશે. એમ. કોમ. સેમેસ્ટર-4ના પરિણામમાં સુધારાની માગઆ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં તાનાશાહી નહીં ચલેગી, VC તેરા ક્યા ભરોસા -એક કચોરી દો સમોસા જેવા નારા લગાવ્યા હતા અને ફી વધારો પરત ખેંચવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એમ. કોમ. સેમેસ્ટર-4ના પરિણામમાં સ્પેશિયલાઈઝેશન લખવામાં આવ્યુ છે. જેનાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્ય જગ્યાએ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે. જેથી, આ વિદ્યાર્થીઓની માર્કશીટમાં સુધારો કરવામાં આવે. PHDનો આ ફી વધારો 26 વર્ષ બાદ થયો છે આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિ દ્વારા ફી વધારો કરવામાં આવ્યા બાદ સર્વોચ્ચ સતામંડળ એવા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી. PHDનો આ ફી વધારો 26 વર્ષ બાદ થયો છે કારણ કે, વર્ષ 2000માં ફી વધારો કરવામાં આવ્યો હતો. જેથી, આ ફી વધારો કરવામાં આવ્યો છે.
મહેસાણા શહેરમાં પાંચ વર્ષ પૂર્વે બનેલી ચકચારી 'ખુશી આત્મહત્યા કેસ'માં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે 16 વર્ષીય કિશોરીને આપઘાત માટે મજબૂર કરવા બદલ તેના પિતાની પૂર્વ લિવ-ઈન પાર્ટનર રમીલાબેન પટેલને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પિતાની પૂર્વ પ્રેમિકાના ત્રાસથી કિશોરીએ આત્મહત્યા કરી હતીકેસની વિગત એવી છે કે વર્ષ 2020માં 16 વર્ષીય ખુશીએ રમીલાબેન પટેલના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આરોપી મહિલા મૃતક ખુશીના પિતા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. જોકે પિતા સાથે સંબંધોમાં તિરાડ પડતા અને સંબંધ તૂટી જતાં રમીલાબેને આ વેરની અદાવત રાખી હતી. રમીલાબેન અવારનવાર કિશોરીને નિશાન બનાવી ત્રાસ આપતી હતી, જેના પરિણામે નિર્દોષ કિશોરીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું. સુસાઈડ નોટમાં રમીલા પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતોઆ સમગ્ર કેસમાં મૃતક ખુશીએ આપઘાત કરતા પહેલા લખેલી 'સુસાઈડ નોટ' ન્યાય અપાવવામાં સૌથી મહત્વનું હથિયાર સાબિત થઈ હતી. આ ચિઠ્ઠીમાં તેણે રમીલાબેન દ્વારા અપાતા ત્રાસની વિગતો વર્ણવી હતી. સરકાર પક્ષે વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 21 સાક્ષીઓની જુબાની અને 45 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. મહેસાણાના સેશન્સ જજ એ.એલ. વ્યાસ દ્વારા બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આઈપીસીની કલમ 305 સગીરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ મુજબ રમીલાબેન પટેલને દોષિત ઠેરવી 10 વર્ષની સજા સંભળાવી હતી. જોકે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા હતા.
ઉત્તર ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષી પ્રેમીઓના માનીતા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ બે દિવસ દરમિયાન અભયારણ્યમાં દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે જાહેરનામુ જાહેરગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર પક્ષી ગણતરીની પ્રક્રિયા દરમિયાન પક્ષીઓને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર એમ સતત બે દિવસ સુધી સહેલાણીઓ અભયારણ્યની મુલાકાત લઈ શકશે નહીં. વન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે ગણતરી કરવામાં આવે છેઉલ્લેખનીય છે કે, થોળમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં હજારોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ મહેમાન બને છે. આ પક્ષીઓની ચોક્કસ સંખ્યા અને તેમની પ્રજાતિઓની વિગતો મેળવવા માટે વન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે ગણતરી કરવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે જાહેર જનતાને વન વિભાગ સાથે સહયોગ કરવા અને નિર્ધારિત દિવસોએ મુલાકાત ન લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં હાલ વુમન્સ પ્રીમિયર લીગ ચાલી રહી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ અકોટા વિસ્તારમાં આવેલી હોટેલ તાજ વિવાન્તામાં રોકાઈ છે, ત્યારે RCB ટીમના પ્લેયર અકોટા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં લોકો ભારતમાં વિદેશી ક્રિકેટરની સુરક્ષા બાબતે વખાણ પણ કરી રહ્યા છે. શહેરમાં બિન્દાસ ફરતી જોવા મળી વિદેશી મહિલા ક્રિકેટર્સવુમન્સ પ્રીમિયર લીગની મેચો રમવા માટે હાલ દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સની ટીમો વડોદરાની મહેમાન બની છે. ત્યારે આ ટીમોની કેટલીક વિદેશી ખેલાડીઓ શહેરમાં મોલ અને કેફેમાં જોવા મળી રહી છે. તો કેટલીક વિદેશી ક્રિકેટર રોડ પર મોર્નિંગ વોક કરતી પણ જોવા મળે છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમની પ્લેયર લોરેન બેલ અને નાદીને ડી કલાર્ક સહિતના પ્લેયર મોર્નિંગ વોકમાં જતા દેખાય છે. વિદેશી ક્રિકેટરો વડોદરા શહેરમાં બિન્દાસ રીતે ફરી રહ્યા છે. ભારતીય મહિલા ખેલાડીઓ હોટલમાંથી ઓછી બહાર નીકળે છેરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ 19 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ સામે મેચ રમી હતી અને તે મેચ RCB જીતી હતી. હવે RCBની મેચ 24 જાન્યુઆરીના રોજ દિલ્હી કેપિટલ્સ સામે યોજાવાની છે. આમ બે મેચ વચ્ચે ચાર દિવસનું અંતર હોવાથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમના વિદેશી ખેલાડીઓ વડોદરામાં એક્સપ્લોર કરી રહ્યા છે. જોકે ભારતીય ખેલાડીઓને ક્રિકેટ રસિકો વધારે ઓળખતા હોવાથી ભારતીય ખેલાડીઓ હોટલમાંથી ઓછા બહાર નીકળે છે અને મોટાભાગે રૂમમાં જ રહે છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર કાફેમાં નાસ્તો કરતા જોવા મળ્યા હતાઆ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં અત્યાર સુધી પોતાની બધી મેચ જીત્યું છે. જેથી પણ ટીમના ખેલાડીઓ ઉત્સાહિત છે અને બિન્દાસ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ક્રિકેટર પણ વડોદરાના રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા અને કાફેમાં નાસ્તો કરવા પણ ગયા હતા.
મહિસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂપિયાના 'નલ સે જલ' યોજનાના કૌભાંડમાં CID ક્રાઈમે સપાટો બોલાવતા વધુ એક રાજકીય માથું ઝડપાયું છે. વડોદરા શહેર અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રભારી અને મહિસાગર ભાજપના પાયાના કાર્યકર મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ભાજપ સાથે જોડાયેલા કુલ ત્રણ નેતાઓ પોલીસ સકંજામાં આવ્યા છે. ₹1.76 કરોડની રિકવરી બાકીતપાસનીશ એજન્સીના જણાવ્યા અનુસાર, મુકેશ શ્રીમાળી પાસેથી સરકારને કુલ ₹1,76,97,169.25ની રકમ રિકવર કરવાની બાકી નીકળે છે. અગાઉ આ જ કેસમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ અને ખાનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ડી.પી. માલીવાડની પણ ધરપકડ કરવામાં આવી હતી. રાજકીય ઓથ હેઠળ આચરવામાં આવેલા આ કૌભાંડમાં એક પછી એક નેતાઓના નામ ખૂલતા ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં 23 ધરપકડવાસ્મો (WASMO) યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ 22 જૂને વડોદરા CID ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. તત્કાલીન 12 કર્મચારીઓ પૈકી 4 અને ફરિયાદમાં નામ ન હોય તેવા અન્ય 4 મળી કુલ 8 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે કુલ 111 ઇજારદારોમાંથી અત્યાર સુધીમાં 15 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. 20 આરોપીઓએ આગોતરા જામીન માંગ્યા હતા, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે, જ્યારે 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. 'મોટા માથાઓ' હજુ કેમ બહાર?આ સમગ્ર કેસમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે તંત્ર દ્વારા નાની રકમની ગેરરીતિ કરનારા કોન્ટ્રાક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ કરોડો રૂપિયાની રિકવરી જેમની પાસે બાકી છે તેવા 'મોટા' કોન્ટ્રાક્ટરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 620 ગામો તરસ્યા: જનતામાં રોષમહિસાગર જિલ્લાના કુલ 714 ગામોમાંથી 620 ગામોમાં આ યોજના હેઠળ ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. કૌભાંડીઓએ સરકારી નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી લીધો, પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે ગ્રામીણ જનતાને ઘરે-ઘરે પીવાનું પાણી ક્યારે મળશે? સરકાર આ કૌભાંડીઓ પાસેથી નાણાં વસૂલ કરી નવી કામગીરી ક્યારે શરૂ કરશે તે જોવાનું રહેશે.
રાજકોટના વતની અને પ્રબળ ઈચ્છાશક્તિના માલિક એવા દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ ઉત્તરાખંડના રૂરકી ખાતે આયોજિત નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 16 થી 18 January, 2026 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રામ બાંભવાએ 80 kg કેટેગરીમાં ભાગ લીધો હતો. તેમણે પોતાની તાકાત અને ટેકનિકનો પરિચય આપતા કુલ 168 kg વજન ઉપાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રહ્યો છે દબદબો મૂળ ફલ્લા ગામના અને હાલ રાજકોટ સ્થિત 29 વર્ષીય રામ બાંભવા રમતગમત ક્ષેત્રે જૂનું અને જાણીતું નામ છે. તેઓ અત્યાર સુધીમાં 8 વખત રાષ્ટ્રીય અને 7 વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે ચીનમાં યોજાયેલ વર્લ્ડ કપમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની સફળતાની સફરમાં અત્યાર સુધીમાં નેશનલ લેવલે 4 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. હવે લક્ષ્ય એશિયા - ઓશિઆનિયા ચેમ્પિયનશીપ હાલ ગાંધીનગરના SAI (Sports Authority of India) ખાતે ટ્રેનિંગ લઈ રહેલા રામ બાંભવાની આ જીત સાથે જ આગામી મોટી સ્પર્ધા માટે પસંદગી થઈ છે. તેઓ હવે 7 થી 12 April દરમિયાન બેંગકોક (થાઈલેન્ડ) ખાતે યોજાનારી એશિયા - ઓશિઆનિયા ઓપન પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રામે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, તેઓ આગામી આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે.
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના ભડભીડ ગામ ખાતે તાજેતરમાં એક મેગા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ શિબિરમાં કુલ 370 ગ્રામજનોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિબિરમાં ખાસ કરીને શાળાના બાળકોના લોહીમાં હિમોગ્લોબિનની તપાસ કરી સ્વાસ્થ્ય માર્ગદર્શન અપાયું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને સંકલનઆ કાર્યક્રમમાં શિશુવિહારના નિયામક ધર્મેશભાઈ વડોદરિયા, ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, ડૉ. અભિલાષાબહેન સોનપાલ અને નિરમા લિમિટેડના વિષ્ણુભાઈ લુણાવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંકલન અનિલભાઈ બોરીચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞથી ભાલના અંતરિયાળ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી.
ધરમપુરમાં સગીરાનું અપહરણ:લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો હોવાની શંકા, પોલીસે શોધખોળ શરૂ કરી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. એક યુવક પર સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદ અનુસાર, ધરમપુર શહેરમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સગીરા સાથે મિત્રતા બાંધી હતી. તેણે સગીરા સાથે નિયમિત વાતચીત કરીને તેની અંગત માહિતી મેળવી હતી. આ મિત્રતાનો લાભ ઉઠાવી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે. 19 જાન્યુઆરીના રોજ સગીરા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની આસપાસના વિસ્તારોમાં તેમજ વલસાડ જિલ્લાના વિવિધ સ્થળોએ શોધખોળ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. સગીરા ન મળતાં, પરિવારજનોએ તેની બહેનપણીની મદદ લીધી. તેમાંથી જાણવા મળ્યું કે, ધરમપુરના એક યુવકે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હોવાની શંકા છે. આ માહિતીના આધારે સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે કેસ નોંધીને ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પોલીસે સગીરાની શોધખોળ અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી હોવાનું જણાવ્યું છે.
સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓ અને બ્રોકરોની અવરજવર અનિયમિત રહેતા આખરે સિટી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી. બુર્સમાં 4700 ઓફિસો હોવા છતાં, માંડ 250 માંથી 80 રેગ્યુલર ઓફિસો કાર્યરત છે, જેના કારણે વેપારીઓ રોજેરોજ બુર્સ ખાતે જતા નહોતા. મુસાફરોની સંખ્યા નહિવત રહેતા અને બસો ખાલી દોડતી હોવાથી વહીવટી તંત્રને આર્થિક નુકસાન જતું હતું, જેને પગલે અગાઉની સિટી બસ સેવા સદંતર બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી એસી બસ સેવા શરૂ કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. મુસાફરોના અભાવના કારણે બસો બંધ કરવી પડી હતીભૂતકાળના આંકડા જોઈએ તો 7 જુલાઈ, 2024ના રોજ ડાયમંડ બુર્સના રિ-ઓપનિંગ બાદ 8 જુલાઈથી 4 ઈલેક્ટ્રિક બસો શરૂ કરાઈ હતી. તંત્રનો અંદાજ હતો કે રોજિંદા 3000થી 5000 લોકો આ બસોનો લાભ લેશે પરંતુ, વેપારીઓ રોજેરોજ બુર્સ ન જતા હોવાથી આ બસો ખાલીખમ રસ્તા પર ફરતી રહી હતી. આ નિષ્ફળતાનું મુખ્ય કારણ મુસાફરોનો અભાવ જ હતો, જેના કારણે કતારગામ અને વરાછા જેવા વિસ્તારોની બસો આખરે બંધ કરવી પડી હતી. વેપારીઓ ઓફિસે નિયમિત ન આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોડેલ સંપૂર્ણપણે ફેલ ગયુંકતારગામ અને વરાછાથી સવારે 8:15 વાગ્યે ઉપડતી બસોમાં જ્યારે વેપારીઓ અને બ્રોકરોની સંખ્યા શૂન્ય રહી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તેને ચલાવવી અશક્ય બની ગઈ હતી. વેપારીઓ પોતાની ઓફિસે નિયમિત ન આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોડેલ સંપૂર્ણપણે ફેલ ગયું હતું. હવે જ્યારે નવી AC બસ સેવા શરૂ કરવાની વાત છે, ત્યારે સૌથી મોટો પડકાર એ રહેશે કે વેપારીઓ આ સુવિધાનો કેટલો નિયમિત ઉપયોગ કરે છે જેથી ફરીથી બંધ કરવાની નોબત ન આવે. ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે તમામ સોલ્યુશન અમે લાવીશુંબુર્સના ચેરમેન લાલજી ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી હતી પણ જેમ-જેમ 250 ઓફિસમાંથી 80 ઓફિસો થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે, ટ્રાન્સપોર્ટેશનની જરૂર ઓછી છે એટલે ધીમે-ધીમે બંધ કરી દીધી પરંતુ, આ વખતે હર્ષભાઈએ એ પણ ખાતરી આપી છે કે, એસી સાથેની બસ અમે જેટલી જોઈએ એટલી દર 15 મિનિટે, દર 30 મિનિટે મહિધરપુરા અને મિનીબજાર બંને જગ્યાએથી ઉપડશે એવી અમે વ્યવસ્થા કરી દઈશું. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પણ ખામી લાગે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે ત્યાં અવરજવર માટે જે પણ તકલીફ હોય એ તમામ સોલ્યુશન ડાયમંડ બુર્સ તરફથી અમે 100 ટકા ખાતરી આપી છે કે અમે સોલ્વ કરીશું. ડાયમંડ ઉદ્યોગના લોકોમાં ફરી એકવાર નવી આશાનો સંચાર થયોટ્રાન્સપોર્ટેશનની આ ખોરવાયેલી સુવિધાને ફરી બેઠી કરવા માટે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ મહત્વની પહેલ કરી છે. તેમણે વેપારીઓને ખાતરી આપી છે કે, બુર્સ માટે હવે ખાસ AC બસ સેવા શરૂ કરવામાં આવશે. વેપારીઓ અને બ્રોકરોને ગરમીથી રાહત મળે અને તેઓ આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી આ લક્ઝુરિયસ બસો દોડાવવાનું આયોજન છે. આ જાહેરાતથી ડાયમંડ ઉદ્યોગના લોકોમાં ફરી એકવાર નવી આશાનો સંચાર થયો છે. AC બસ સેવા વેપારીઓને બુર્સ સુધી ખેંચી લાવવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે18 ફેબ્રઆરીથી સુરત ડાયમંડ બુર્સમાં વધુ 68 નવી ઓફિસો વિધિવત રીતે શરૂ થવાની શક્યતા છે. આ નવી શરૂઆતને વેગ આપવા માટે હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે, વેપારીઓની જરૂરિયાત મુજબ ગમે તેટલી AC બસો ફાળવવામાં આવશે. જો વેપારીઓ નિયમિતપણે બુર્સમાં આવવાનું શરૂ કરે તો સરકાર પરિવહન માટે કોઈ કમી રાખશે નહીં. આ નવી AC બસ સેવા વેપારીઓને જૂના બજારમાંથી નવા બુર્સ સુધી ખેંચી લાવવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વેપારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે એવો વ્યૂહાત્મક પ્રયાસખજોદમાં 3400 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સંકુલમાં 35.54 એકરના વિસ્તારમાં કુલ 9 ટાવર આવેલા છે. 67 લાખ ચોરસ ફૂટના આ વિશાળ સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ સુવિધાઓ તો છે પણ કનેક્ટિવિટીના અભાવે તે વેરાન ભાસતું હતું. હર્ષ સંઘવી દ્વારા AC બસની જાહેરાત એ માત્ર એક સુવિધા નથી, પરંતુ હીરા ઉદ્યોગને બુર્સ તરફ વાળવા માટેનો એક વ્યૂહાત્મક પ્રયાસ છે. જેથી વેપારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે. અંતે, 18 ફેબ્રઆરીથી શરૂ થનાર નવો તબક્કો સુરત ડાયમંડ બુર્સ માટે નિર્ણાયક સાબિત થશે. જો નવી ઓફિસો ધમધમશે અને વેપારીઓ રોજેરોજ બુર્સ ખાતે હાજરી આપશે તો નવી AC બસ સેવા ચોક્કસપણે સફળ રહેશે. વેપારીઓનો સાથ અને સરકારની સુવિધા જ્યારે એકસાથે મળશે ત્યારે જ વિશ્વનું આ સૌથી મોટું હીરા બજાર ખરા અર્થમાં વૈશ્વિક હબ બની શકશે. હવે જોવાનું એ રહેશે કે વેપારીઓ આ AC બસ સેવાનો કેવો પ્રતિસાદ આપે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિથી રોગોનું પ્રમાણ વધે છે જ્યારે પ્રાકૃતિક કૃષિ આરોગ્ય પ્રદાન કરે છે. યુનિવર્સિટીના સરદાર સભા ગૃહમાં આયોજિત આ સમારોહમાં કૃષિ, બાગાયત અને એગ્રી-બિઝનેસ જેવી વિવિધ વિદ્યાશાખાના 578 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ અવસરે તેજસ્વી વિદ્યાર્થીઓને 74 ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે હવે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક બની ગઈ છે. રાસાયણિક ખેતીને કારણે લોકોના સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિ, પાણી અને પર્યાવરણ પર અત્યંત વિપરીત અસરો થઈ છે. જમીનની ફળદ્રુપતામાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે ત્યારે જ કૃષિ ઉત્પાદનમાં સાચો વધારો શક્ય બનશે. હરિત ક્રાંતિના સમયનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું હતું કે અગાઉ જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2.5 ટકા હતો, જે રાસાયણિક ખેતીના અંધાધૂંધ વપરાશથી ઘટીને હવે 0.5 ટકાની નીચે પહોંચી ગયો છે. વધુ પડતા જંતુનાશકોના ઉપયોગથી જમીન બિનઉપજાવ બની રહી છે અને આવા ખોરાકથી કેન્સર, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન અને કિડનીની બીમારીઓ ઝડપથી વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ રાસાયણિક ખેતીથી ઉત્પાદનમાં પણ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખેતીની રાસાયણિક પદ્ધતિ માત્ર જમીન જ નહીં પણ વાતાવરણને પણ પ્રદૂષિત કરી રહી છે. રાસાયણિક ખાતરોથી નાઈટ્રસ ઓક્સાઈડ જેવા ઝેરી વાયુઓ મુક્ત થાય છે, જે કાર્બન ડાયોક્સાઈડ કરતા 312 ગણો વધુ ખતરનાક છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં વધારો કરે છે. આ તબક્કે રાજ્યપાલે વિદ્યાર્થીઓને જનહિતકારી પ્રાકૃતિક કૃષિના મિશનને વેગ આપવા અને તેના પ્રચાર-પ્રસાર માટે રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોને બિરદાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે સંશોધનોમાં સાબિત થયું છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી. હાલમાં ગુજરાતમાં આશરે 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે ભારતીય મૂળના બીજને વધુ ઉન્નત બનાવવા અને આ ક્ષેત્રમાં નવા સંશોધનો કરવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પ્રાકૃતિક કૃષિના સંદેશને પણ તેમણે આ પ્રસંગે રજૂ કર્યો હતો. ગુજરાત ડ્રીપ ઈરીગેશનમાં દેશનું મોડેલ: ડો. એસ. કે. મલ્હોત્રા કરનાલની મહારાણા પ્રતાપ હોર્ટીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. મલ્હોત્રાએ દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે આ 21 વર્ષની યાત્રામાં યુનિવર્સિટીએ ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ કલ્યાણ માટે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો તૈયાર કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ડ્રીપ ઈરીગેશન અને સુફલામ-સુફલામ યોજનાની સફળતાને કારણે ગુજરાત આજે સમગ્ર દેશમાં કૃષિ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સના ઉપયોગથી ખેતીમાં નવા આયામો સર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. નવી વેબસાઈટ અને રિપોર્ટનું લોન્ચિંગ આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવી મોબાઈલ ફ્રેન્ડલી વેબસાઈટ અને એન્યુઅલ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એસએસઆઈપી (SSIP) ગ્રાન્ટના મંજૂરી પત્રો પણ એનાયત કરાયા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ યુનિવર્સિટીની સિદ્ધિઓનો અહેવાલ રજૂ કર્યો હતો અને રજીસ્ટ્રાર વાય. એચ. ઘેલાણીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયા,કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ વડા સુબોધ ઓડેદરા, કમિશનર તેજસ પરમાર સહિતના અધિકારીઓ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાંકણપુર કોલેજમાં MG મોટરનો મહિલા ભરતી મેળો:૧૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો, રોજગારીની તક મળી
કાંકણપુરની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એસ. ગાડી કોમર્સ કોલેજ ખાતે એમ.જી. મોટર હાલોલ દ્વારા મહિલાઓ માટે એક વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં 100થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ બહેનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વ્યવસાયિક ક્ષેત્રે સફળ થવા માટે ઈમાનદારી, મહેનત અને સતત નવી સ્કિલ શીખવી અનિવાર્ય છે. કોલેજના આચાર્ય ડો. જગદીશભાઈ પટેલે પણ ઉપસ્થિત બહેનોને આ તકનો લાભ લઈ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ભરતી પ્રક્રિયાનું સંચાલન શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના કોઓર્ડિનેટર ડો. મહેશ રાઠવા અને પ્લેસમેન્ટ સેલના ડો. કનુભાઈ ચંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાઇબલ સેલના સભ્યો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. કોલેજ પ્રશાસને ભવિષ્યમાં પણ આવા રોજગારલક્ષી કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ખાતરી આપી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકાર અને યુનેસ્કોના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી સંલગ્ન 58 કોલેજોના કુલ 113 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર અપરાધો સામે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને વ્યવહારુ સુરક્ષાના પાઠ શીખવવાનો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કવચ કેન્દ્ર દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમમાં પરંપરાગત ઉદ્ઘાટન વિધિને બદલે સીધા જ તાલીમ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનેસ્કોના માર્ગદર્શન હેઠળ નિષ્ણાતો દ્વારા ઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો. ડિજિટલ એરેસ્ટ જેવી ઓનલાઇન છેતરપિંડીની પદ્ધતિઓ, તેનાથી બચવાના કાનૂની અને વ્યવહારિક ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ સત્રમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગમાં રાખવાની સાવચેતી તેમજ શંકાસ્પદ મેસેજ ઓળખવાની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમને માત્ર વ્યાખ્યાન સુધી મર્યાદિત ન રાખતા, કેસ સ્ટડી, પ્રશ્નોત્તરી અને વિવિધ ગેમ્સ દ્વારા તેને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો. આયોજકોનો ઉદ્દેશ હતો કે તાલીમ મેળવેલા 113 વિદ્યાર્થીઓ પોતાની કોલેજ અને સમાજમાં સાયબર સુરક્ષાના એમ્બેસેડર બની અન્ય લોકોને જાગૃત કરે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી નવી તરકીબો સામે સતત અપડેટ રહેવું એ જ સુરક્ષાનો શ્રેષ્ઠ માર્ગ છે. વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભવિષ્યમાં આવા વધુ આયોજનો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કવચ કેન્દ્રના નોડલ ઓફિસર હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યુનેસ્કો તરફથી નિષ્ણાત તરીકે મહંમદ અફઝલ, અન્વિતા પરમાર, કથા રે, અનુષ્કા વર્મા, મજહર મોહીન અને મીનલ છેડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી વિભાગના તપસ ચક્રવર્તી, યોગેશ પરમાર તેમજ સંસ્કૃત વિભાગના વિપુલભાઈ પરમાર અને દિલીપ પટેલ સહિતના સ્ટાફ મિત્રોએ સહયોગ આપ્યો હતો. યુવાન પેઢીને ડિજિટલ સુરક્ષા પૂરી પાડવા માટે લેવાયેલું આ પગલું પ્રશંસનીય રહ્યું હતું.
ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમે શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી 18 ખાણી-પીણીની દુકાનો અને હોટલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રસોડાની સફાઈ, સેનેટરી વ્યવસ્થા અને હાઈજેનિક પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. અનેક દુકાનો અને હોટલોને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ અપાઈ હતી. કેટલીક ફાસ્ટફૂડની દુકાનોમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. કાર્યવાહી દરમિયાન, વિભાગે અંદાજે 10 લિટર વડાપાઉંની ચટણી, 5 લિટર બળેલું તેલ અને 5 કિલો બિરિયાનીના ચોખાનો નાશ કર્યો હતો. દુકાનદારો અને કામદારોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખોરાક તૈયાર કરવા અને ગ્રાહકોને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો વેચવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં જો ફરી બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચતા વેપારીઓ સામે આવશે, તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા અનોખો અને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓના અભાવ અને યુનિવર્સિટીની બગડતી સ્થિતિ સામે NSUIના કાર્યકરો લારી લઈને કેમ્પસમાં ઉતરી આવ્યા હતા. લારી પર તૂટેલી અને બિનઉપયોગી સામગ્રી મૂકીને યુનિવર્સિટી પ્રશાસન તથા રાજ્ય સરકાર સામે ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને ગુજરાત યુનિવર્સિટીની હાલત ખરાબ હોવાનો NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. લારી પર યુનિવર્સિટીની ખામીઓ દર્શાવી NSUIના કાર્યકર્તાઓ લારી લઈને સમગ્ર કેમ્પસમાં ફર્યા હતા. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાણી વગર તરસતા હોવાનો આક્ષેપદિલ્હી વિશ્વ વિધાલયના પૂર્વ અધ્યક્ષ રોનક ખત્રી પણ ગુજરાત યુનિવર્સિટી આવ્યા હતા. જે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની ખામીઓને NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલમાં પીવાનું પાણી પણ વિદ્યાર્થીઓને ન મળતું હોવાથી લારી પર તૂટેલી ડોલ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાણી વગર તરસતા હોવા છતાં પાણી ન અપાતું હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. તૂટેલી ડોલ, કેલ્ક્યુલેટર, ખુરશી, ટેબલ અને સ્પોર્ટ્સ સાધનો મૂકી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું સ્તર સુધારવા માટેની પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. એજ્યુકેશન આજે લારીના સ્તર પર આવી ચૂક્યું છેદિલ્લી વિશ્વ વિધાલયના પૂર્વ અધ્યક્ષ રોનક ખત્રીએ જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તો સામે આવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીની સૌથી ખરાબ હાલત છે કારણ કે વિદ્યાર્થીઓ પાસે પીવા માટે પૂરતું પાણી પણ મળતું નથી. હોસ્ટલમાં વિદ્યાર્થીઓ કેવું પાણી પીવે છે તે સૌથી મોટો સવાલ છે. વિશ્વ ગુરુ ભારતમાં પણ પીવાના પાણી માટે તરસવું પડે છે. એજ્યુકેશન ભારતને આકાશ સુધીની ઊંચાઈ પર લઈ જશે એવું કહેવામાં આવતું હતું પરંતુ, એજ્યુકેશન આજે લારીના સ્તર પર આવી ચૂક્યું છે. એજ્યુકેશનમાં સ્તર સુધારવા માટે બજેટ વધારવામાં આવે એવી અમારી માંગણી છે. બજેટ વધારવાની સાથે-સાથે અધિકારીઓના કિસ્સામાં જે રૂપિયા જાય છે, તે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધરે એવી માગવધુમાં રોનક ખત્રીએ જણાવ્યું હતું કે, દરેક કોર્સમાં ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફી વધારવામાં આવી પરંતુ સુવિધા વધારવામાં આવી નથી. નવા ક્લાસરૂપ અને એજ્યુકેશન પર ખર્ચ થતો હોય તો વિદ્યાર્થીઓને કોઈ વાંધો ન આવે. નવી એજ્યુકેશન પોલિસી નહીં પરંતુ, નવી એન્ટરટેઈનમેન્ટ પોલિસી છે. પહેલા સરકારી યુનિવર્સિટીઓને ગ્રાન્ટ મળતી હતી, અત્યારે લોન આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે. નવા વિષય એડ કરવામાં આવ્યા અને કોઈને ભણાવતા આવડતું નથી. એજ્યુકેશન મિનિસ્ટર અમારી માંગણી સમજે અને વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધરે તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગણી છે.
આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે જેને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામ દૂર થશે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી. જેને મ્યુનિસિપલ કોર્પોરેશને ના મંજૂર કરી છે. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો છે. જેમાં આજે મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વર્ષોથી વિવાદમાં રહેલા આ આશ્રમના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે હવે ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે. 'ગેરકાયદેસર બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસ'લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્પોર્ટસ સંકુલ ડેવલોપમેન્ટ ફેઝ ટુની કામગીરી કરવામાં આવનાર છે. જેના ડેવલોપમેન્ટ માટે ગેરકાયદેસર બાંધકામો તોડવા પશ્ચિમ ઝોન દ્વારા નોટિસો આપવામાં આવેલી છે. પ્રકાશ ગુર્જરે વધુમાં કહ્યું કે, ગુડામાં એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી કરવામાં આવી છે જે હાલમાં પેન્ડિંગ છે. જેથી કમિટી દ્વારા વકીલની ઝડપથી નિમણૂક કરી અને કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવેલી છે.
નવરગંપુરા સ્ટેડિયમ પાસે આવેલા ઇન્સ્ટાકાર્ટ કંપનીના સ્ટોરમાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિ નોકરીએ લાગ્યો હતો. તેણે ચાર દિવસ બાદ તેના ઓળખીતાને નોકરીએ બોલાવ્યો હતો. આ ગઠિયાએ નોકરીએ આવ્યાના એક જ દિવસમાં છ ફોન ચોરી કર્યા હતા. તેને નોકરીએ રાખનારે પણ તેને ભગાડવામાં મદદગારી કરી હતી. નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. બંને આરોપીઓએ અચાનક નોકરીએ આવવાનું બંધ કર્યુંજુહાપુરામાં રહેતા અતીક સૈયદ ઇન્સ્ટાકાર્ટ કંપનીમાં એનફોર્સમેન્ટ અધિકારી તરીકે નોકરી કરે છે. આ કંપનીના ભારતભરમાં વેરહાઉસ અને સ્ટોર આવેલા છે. જે પૈકી એક સ્ટોર નવરંગપુરા સ્ટેડિયમ પાસે આવેલો છે. જે સ્ટોરથી ઓનલાઇન ઓર્ડરની વસ્તુઓનો સંગ્રહ અને વિતરણ થાય છે. ગત 24 નવેમ્બરે શોર્ટિંગ એક્ઝિક્યુટિવ તરીકે આદીત્ય સોની જોડાયો હતો. તે વિવિધ પાર્સલોનું સરનામા મુજબ વર્ગીકરણ કરવાનું કામ કરતો હતો. ચાર દિવસ બાદ તેણે એઝાઝ શેખને કામ પર રાખ્યો હતો. જે પછી બીજા જ દિવસથી બંનેએ નોકરીએ આવવાનું બંધ કરી દીધુ હતું. બંનેને ફોન કરવા છતાં બંને નોકરીએ ન આવતા સ્ટોરમાં તપાસ કરતા છ ફોન ગુમ હતા. સીસીટીવીમાં આરોપી 1.32 લાખના છ ફોન ચોરી કરતો દેખાયોજેથી સ્ટોરના સીસીટીવી તપાસ કરતા આ બંનેએ નોકરીના સમયગાળામાં 1.32 લાખના છ ફોનની ચોરી કરી હતી. એઝાઝે ફોનની ચોરી કરીને જેકેટમાં સંતાડ્યા હતા અને આદિત્યએ તેને ઇશારો કરીને બહાર ભગાવી મૂક્યો હતો. નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ કરતા બંને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ પીવા અને મોજશોખ માટે ચોરીનો પ્લાન ઘડ્યોઝોન 1 ડીસીપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે, પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, બંને આરોપીઓ દારૂ પીવાની લત ધરાવે છે અને આર્થિક તંગી તેમજ મોજશોખ પૂરા કરવા ચોરીનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને આશંકા છે કે આ બંને શખસો ચોરી કરવાના ઇરાદે જ નોકરીએ રહ્યા હતા. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ અગાઉ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે ચોરી કરી છે કે કેમ અને તેમની સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયેલા છે કે નહીં.
નવસારી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શો 24 થી 30 જાન્યુઆરી દરમિયાન સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી શહેરીજનો માટે નિશુલ્ક ખુલ્લો રહેશે. નવસારી મહાનગરપાલિકા (NMC) કમિશનર દેવ ચૌધરીએ લુંસીકુંઇ ખાતે આયોજન સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંચાલન કરતી એજન્સીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ફ્લાવર શોમાં વિવિધ થીમ પર આધારિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ધાર્મિક, રાષ્ટ્રીય અને નવસારીની અસ્મિતાના પ્રતીક સમાન ફૂલોના સ્વરૂપો જોવા મળશે. અમદાવાદમાં યોજાતા મેગા ફ્લાવર શોની લોકપ્રિયતા અને જનતાના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને નવસારીમાં પણ આ પ્રકારનો શો યોજાઈ રહ્યો છે. જોકે, નવસારીનો ફ્લાવર શો કદમાં થોડો નાનો હશે, પરંતુ તેમાં કલાત્મકતા, આકર્ષકતા અને થીમેટિક રજૂઆત જાળવી રાખવામાં આવશે. આ શોની મુખ્ય વિશેષતા લાખો ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા અદ્ભુત શિલ્પો અને પ્રતિમાઓ છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ક્લોક ટાવર, વાઘ, સિંહ અને પતંગિયા જેવા કુદરતી તથા કલાત્મક મોડેલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવસારીના સપૂત જમશેદજી ટાટા અને મહાત્મા ગાંધીજીની કૃતિઓ પણ ફૂલોના રંગોથી શોભાયમાન થશે. પ્રકૃતિ અને સર્જનાત્મકતાનો આ અનોખો સંગમ શહેરીજનો માટે યાદગાર અનુભવ બની રહેશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં અનેક નવી યોજનાઓ, પ્રોજેક્ટો અને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ ફ્લાવર શો શહેરના ગૌરવમાં વધુ એક ઉમેરો કરશે તેવી અપેક્ષા છે. સોશિયલ મીડિયા અને શહેરમાં વધતી ચર્ચાઓને જોતા એક વાત સ્પષ્ટ છે કે, પરિવાર, બાળકો, યુવાનો, ફોટોગ્રાફર્સ, પ્રકૃતિપ્રેમીઓ અને કલા રસિકો માટે આ એક દૃશ્ય મોઝાઇક, કૃતિમહોત્સવ અને યાદગાર ક્ષણો સર્જી આપનાર ઉજવણી બની રહેશે. લાખો ફૂલ, હજારો મુલાકાતીઓથી નવસારી શહેર પ્રકૃતિના રંગોમાં ઝળહળશે. આવતા દિવસો નવસારી વિવિધ ફૂલોથી મહેકી ઊઠશે, જેવી રીતે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાતો હોય છે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું માર્ગદર્શન અને વિઝન છે કે 'વિકસિત ગુજરાત' એ અંતર્ગત 'વિકસિત નગરો' બને. આ જ ભાગરૂપે આ વર્ષે 2025-26 શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાત હાઇકોર્ટમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક દબાણ મુદ્દે સુઓ મોટો પિટિશન ઉપર ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગૃહ વિભાગના તરફથી ફાઇલ કરેલી એફિડેવિટ મુજબ 1 નવેમ્બર, 2025થી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યમાં 48 ધાર્મિક દબાણ દૂર કરાયા છે, 38 ધાર્મિક દબાણ રિલોકેટ કરાયા કે અને 30થી વધુ ધાર્મિક સ્થાનોને રેગ્યુલરાઈઝ કરાયા છે. 468 ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. જ્યારે 97 નોટિસ વર્તમાન પત્રોમાં અપાઈ છે. ધાર્મિક આગેવાનો સાથે 97 મીટીંગો યોજાઈ છે. આ અંગે વધુ સુનવણી 11 માર્ચે યોજાશે. 2025માં એપ્રિલથી જુલાઈમાં રાજ્યમાં 261 ધાર્મિક દબાણ દૂર કરાયા હતાઅગાઉની સુનવણીમાં હાઇકોર્ટને જણાવાયું હતું કે, 16 એપ્રિલ, 2025થી જુલાઈ, 2025 સુધીમાં રાજ્યમાં 261 ધાર્મિક દબાણ દૂર કરાયા છે, 28 ધાર્મિક દબાણ રિલોકેટ કરાયા કે અને 98 રેગ્યુલરાઈઝ કરાયા છે. 1177 ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે.જ્યારે 328 નોટિસ વર્તમાન પત્રોમાં અપાઈ છે. 34 જિલ્લાઓને જુદી-જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યાધાર્મિક દબાણોને ઓળખીને 34 જિલ્લાઓને જુદી-જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં 1 હજારથી વધુ ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા 500થી 1 હજાર ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, 300થી 500, 200થી 300, 100થી 200 અને 100થી ઓછા ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક દબાણો મુદ્દે જિલ્લા લેવલે બનેલી કમિટીની મિટિંગ મહિનામાં એક વખત મળે એવી સૂચનાઓ આપવામાં આવી છે. 2 જિલ્લા અને 1 મહાનગરપાલિકામાં એક પણ ધાર્મિક દબાણ નથી. 9 જિલ્લાઓમાં 50 કરતા ઓછા ધાર્મિક દબાણો છે. જેમાં પણ 4 જિલ્લાઓમાં 10 કરતા ઓછા ધાર્મિક દબાણો છે. રાજ્યમાં 70 ટકા ધાર્મિક દબાણ 5 જિલ્લાઓ અને 2 મહાનગરપાલિકાઓમાં 1 માર્ચ, 2025થી 15 એપ્રિલ, 2025 સુધી રાજ્યમાંથી 99 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. આ 99 ધાર્મિક દબાણો પૈકી 66 ધાર્મિક દબાણો જિલ્લાઓમાંથી દૂર કરાયા છે. જ્યારે 33 દબાણો મહાનગર પાલીકાઓમાંથી દૂર કરાયા છે. 49 દબાણોને રિલોકેટ કરાયા છે, જે પૈકી 04 જિલ્લાઓમાં અને 45 મહાનગરપાલિકોમાં આવેલા છે. જ્યારે 52 ધાર્મિક દબાણોને રેગ્યુલરાઈઝ કરવામાં આવેલ છે. 310 નોટિસ દબાણકર્તાઓને આપવામાં આવી છે. 754 નોટિસ લોકલ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાઈ છે. સ્થાનિક 175 ધાર્મિક અગ્રણીઓ સાથે મિટીંગો યોજવામાં આવી છે.
ગુજરાત નજીક દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમુદ્રની સપાટી પર અચાનક પાણી ઉકળતું હોય તેમ વિશાળ પરપોટાં દેખાતા માછીમારોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, દરિયાના તળિયેથી પસાર થતી કોઈ ગેસ પાઈપલાઈનમાં મોટા ભંગાણને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની શક્યતા છે. જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેવા દ્રશ્યોદરિયાની મધ્યમાં માછીમારી કરી રહેલા ખલાસીઓએ જોયું કે એક ચોક્કસ વિસ્તારમાં પાણી ઉકળી રહ્યું છે અને સતત ગેસના વિશાળ પરપોટા બહાર આવી રહ્યા છે. કેટલાક સ્થાનિક માછીમારોએ આ ભયાનક દ્રશ્યને જ્વાળામુખી ફાટવા જેવી ઘટના ગણાવી હતી. આ અંગેની જાણ ગુજરાત માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલને કરવામાં આવતા તેમણે તાત્કાલિક પાલઘર મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. તંત્ર દ્વારા તપાસના આદેશ અને સાવચેતીઘટનાની ગંભીરતાને જોતા પાલઘર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, કોસ્ટલ વિભાગ અને મેરિટાઇમ એજન્સીની ટેકનિકલ ટીમોને તપાસ માટે રવાના કરવામાં આવી છે. ગેસ લાઈન ભંગાણ: પ્રાથમિક તપાસમાં દરિયાના પેટાળમાં રહેલી ગેસ પાઈપલાઈનમાં લીકેજ હોવાનું જણાય છે. સંબંધિત ગેસ લાઈન ઓપરેટર ટીમને રિપેરિંગ અને તપાસ માટે જાણ કરવામાં આવી છે. પ્રતિબંધિત વિસ્તાર: સુરક્ષાના કારણોસર માછીમારો અને બોટચાલકોને આ અસરગ્રસ્ત વિસ્તારની આસપાસ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અફવાઓથી દૂર રહેવા અપીલઆ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો વહેતી થઈ છે. આ સંદર્ભે માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટંડેલે જણાવ્યું હતું કે, અમે સતત તંત્રના સંપર્કમાં છીએ. માછીમારોએ ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. ટેકનિકલ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં સાચું કારણ બહાર આવશે. હાલમાં દરિયામાં થતા આ 'ઉકળાટ'નું ચોક્કસ કારણ જાણવા વિવિધ એજન્સીઓ સેમ્પલિંગ અને સર્વેની કામગીરી કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવા માટે 18મી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે ડેડલાઈન પૂર્ણ થઈ ગઈ પણ વિવાદો શમવાનું નામ લેતા નથી.ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, SIR કામગીરીમાં ફોર્મ 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર છીનવી રહ્યો છે. રાજ્યમાં 10 લાખ જેટલા ફોર્મ 7 ખોટી રીતે કચેરીઓમાં જમાં કરી દેવામાં આવ્યા છે. બારોબાર મત રદ કરવા માટે ખોટી રીતે ફોર્મ 7 કચેરીઓમાં જમાં કરવામાં આવ્યા છે. તેના CCTV જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે. ખોટો વાંધો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવે. જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી દરેક જિલ્લામાં ફોર્મ 7 ખૂબ ઓછા આવ્યા હતા. 16થી 18 જાન્યુઆરી સુધી આયોજનપૂર્વક લાખોની સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલ સુધી ચૂંટણીપંચ વાંધા અરજી આપનારની વિગતો રજૂ નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે. મતદારોને સાથે લઈ તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે. તેમ છતાં યોગ્ય પગલા નહીં લેવાય તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમિત ચાવડાએ આગળ જણાવ્યું હતું કે, લોકોના કિંમતી મતનો અધિકાર છીનવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. જે ઓર્ગેનાઇઝ છે એટલે કે જે નેક્સેસ ચાલતું હતું એ વોટચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ પહેલી વખત ઓગસ્ટ 2025માં ખુલ્લું પાડ્યું. SIRથી ગુજરાતમાં પણ નવેમ્બર 2025થી આવી શરૂઆત થઈ અને ચૂંટણીપંચે ખૂબ ઢોલ વગાડીને કીધું કે મતદાર યાદી શુદ્ધ બનાવી રહ્યા છીએ. એક પણ ખોટો મતદાર નહીં હોય કોઈનો પણ મતનો અધિકાર નહીં છીનવવામાં આવે. અમે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈને કામગીરી કરી રહ્યા છીએ તેવો દાવો કરવામાં આવ્યો હતો. લોકોના મતના અધિકારની રક્ષા માટે અને BLOની પ્રક્રિયામાં મહેનત કરી. એક BLOએ સરકારી તંત્ર અને સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા જ માનસિક ત્રાસ આપવામાં આવે છે અને BLO જિંદગી ટૂંકાવું આત્મહત્યા કરે છે. 19 ડિસેમ્બરે મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી એ વખતે જોગવાઈ છે કે કોઈને વિરોધ હોય તો ફોર્મ નંબર 7 ભરી શકે છે. કોઈના નામ રહી ગયા હોય તો ફોર્મ નંબર 6 ભરી શકે છે અને કોઈ સુધારો કરવો હોય તો તે અન્ય ફોર્મ ભરી શકે છે. ફોર્મ નંબર 7 એટલે કે મતદાર યાદીમાં જેનું નામ હોય એની સામે કોઈને પણ વાંધો હોય તો અરજદાર પૂરતા પુરાવા સાથે ફોર્મ નંબર 7 સાથે વાંધો આપી શકે છે. અચાનક એક દિવસ કાવતરું રચીને ચોક્કસ રાજકીય પાર્ટીની ભાગીદારીથી જથ્થાબંધ રીતે ફોર્મ નંબર 7 ભરાવીને કચેરીમાં જમા કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ નિયમ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ વેમાં એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ જમા કરાવ્યા છે. કચેરીના CCTV જોઈએ તો પણ ખબર પડે કે કોણ અને કેટલા ફોર્મ લઈને આવ્યા છે. જેથી ચૂંટણી અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે કે નામ કમી કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીના આગેવાન અને અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. ફોર્મનો સ્વીકાર કરી હજારો સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરાયા છે. અમે માહિતી માંગી તો અમને વિગતો આપવામાં આવી નહીં. જેથી ચૂંટણી પંચ પણ આ કાવતરામાં સંડોવાયેલું છે. ભાજપના નેતાઓ ફોર્મ ભરવા માટે આવે છે અને કચેરીમાં જમા કરાવે છે. ખોટું કરવાવાળા સામે પગલાં લઈ અમને માહિતી આપવો જોઈએ તેવી અમે માંગ કરી છે. પરંતુ કોઈ માહિતી રાજકીય પક્ષોને આપવામાં આવતી નથી. પબ્લિક ડોમેઇન પણ મૂકવામાં આવી નથી. 18 તારીખ સુધીમાં 10 લાખ કરતા વધારે ફોર્મ નંબર 7 કચેરીમાં જમા થઈ ગયા છે. જે દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના એક BLOએ કહ્યું હતું કે મારા બુથ નંબર ભાગ નંબર 253ના 88 જેટલા ફોર્મ નંબર 7 આવ્યા છે. 88 જેટલા ફોર્મ બારોબાર કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગરૂપે આવી રીતે ફોર્મ નંબર 7 ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે તેને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. FIR ની માંગ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયા દરમિયાન ખોટુ કરે તો તેની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે. ખોટી માહિતી આપે અને આ ફોર્મ-7 ભરાયું છે. જો તમે ખોટો વાયદો ખોટી માહિતી આપો કે ખોટો એકરાર કરો તો FIR થાય છે. એક વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. જેથી ફરિયાદ કરવા માટે એક પ્રમાણિક BLOએ ચૂંટણી અધિકારીને મોકલી છે. જુદા જુદા ફોર્મની અમે ચકાસણી કરી તો સામે આવ્યું કે મતદાનની વિગતો કમ્પ્યૂટરના આધારે લખવામાં આવી છે. તમામ ફોર્મમાં મતદારની માહિતી લખેલું ફોર્મ એક સમાન જોવા મળી રહ્યું છે. ફોર્મ નંબર 7માં મોબાઇલ નંબર પણ ખોટા લખવામાં આવ્યા છે. ખંભાતમાં એક કોર્પોરેટરના માતાને જીવીત ન હોવાનું કહી વાંધો ઉઠાવવામાં આવ્યો છે, એટલે કે જે જીવિત છે તેમનો મત હટાવવા માટે ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાય અરજદાર એવું કહેતા હતા કે અમે કોઈ વાંધો ઉઠાવ્યો નથી અને કોઈ સહી કરી નથી. જેથી એક નેક્સેસ ઊભું કરીને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. ખોટી રીતે ફોર્મ ભરીને કોઈના નામ કમી ન થાય તે માટે ગુજરાતમાં દરેક બૂથમાં જેટલા પણ ફોર્મ નંબર 7 અને 6 આવ્યા છે, તેની માહિતી રાજકીય પક્ષને આપો અને તેને પબ્લિક ડોમેઇન પર મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. તેમજ જો ખોટું કર્યું છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. કઈ તારીખે ક્યા વ્યક્તિ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા છે તેના CCTV વીડિયો પણ જાહેર કરવામાં આવે. કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જેથી જો આવું થશે તો ખોટા વાંધાની ચકાસણી કરીને તપાસ થાય તો તેમના મત કપાતા અટકી જાય છે. જો પુરાવા હોય તો BLOને ચોક્કસ નોટિસ આપીને અને ખોટો મતદાર હોય તો તે રદ કરો તેનો અમને કોઈ વાંધો નથી. અરજદાર પુરાવા ન આપે તો કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી અધિકારીઓએ ફરિયાદ નોંધવી જોઈએ. જેથી કરીને ષડયંત્ર કરવાનો કોઈ પ્રયાસ ન કરે તેવી અમારી માંગણી છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ છે તે તમારા વોટના અધિકારને છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તમામ લોકો 30 તારીખ પહેલા મતદાન મથક પર જઈને મતદારયાદી ચેક કરી લેજો. જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ, તાલુકા પંચાયતમાં જઈને ધરણા પ્રદર્શન કરીશું. તેમજ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં જઈને એક પણ વોટ રદ થવા નહીં દઇએ.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલ કતલખાના બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે ઊજવણી થશેશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ બાબતે તમામ મ્યુનિસિપલ કમિશનરો અને કમિશનર, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખી જાણ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે આ દિવસને ખાસ રીતે ઉજવવા માટે રાજ્યમાં કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કુબેરનગર વિસ્તારમાં પોલીસે દારૂ મામલે સપાટો બોલાવી દીધો છે.પોલીસે ગઈકાલે કુબેરનગરમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લીધી છે. બે દિવસ પહેલા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી બે દિવસમાં બે દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. મોટવાણી બંગલા નજીક મકાનમાં ધાબા પર ચાલતી ભઠ્ઠી ઝડપાઈ સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમને બાતમી મળી હતીકે કુબેરનગર મોટવાણી બંગ્લાની સામેની ગલીમાં રહેતી રાખી જયરાજ ઈન્દ્રેકર પોતાના મકાનના ધાબા ઉપર દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહી છે. બાતમીના આધારે સરદારનગર પોલીસની ટીમ તરત જ રાખીના ઘરે પહોચી ગઈ હતી. પોલીસે રેડ દરમિયાન 28 લીટર દેશી દારૂનો જથ્થો, 4800 લીટર દેશીદારૂ ગાળવાનો વોશ લોંખડના સગડા, પીપળા, તગારા, ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાખીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે રાખી ઘણા સમયથી દેશી દારૂ બનાવવાનું કામ કરે છે અને તેને શહેરના વિવિધ બુટલેગર્સને સપ્લાય કરે છે. પોલીસે રેડ કરતાની સાથેજ માહોલ તંગ થઈ ગયો હતો. બે દિવસ પહેલા પણ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ની ટીમે કર્યો હતો. એલસીબીએ 6500 લીટર દેશી ગાળવાનો વોશ, 40 લીટર દેશી દારૂ તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ જપ્ત કરી હતી. પીસીબીએ પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પીસીબીની ટીમે ચાંદખેડામાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક ખેપીયાની ધરપકડ કરી છે.પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, વૈષ્ણવદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના રસ્તા પર એક કારમાં દારૂ આવી રહ્યો છે.પીસીબીની ટીમ વોચમાં હતી ત્યારે એક સફેદ કલરની ક્રેટા કાર આવી હતી. ક્રેટ કારને રોકી ડ્રાઈવર વિક્કી ઉર્ફે વિક્રમ પરીહારની અટકાયત કરી લીધી હતી. કારમાં ચેક કરતા 6 લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પહેલા વૈષ્ણવદેવી નજીકના અંડરબ્રિજ પર ટ્રાફિકજામ કરાવી દીધો હતો અને ત્યારબાદ દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. ગાડીની અંદર અલગ અલગ આરટીઓની નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે કારની નંબર પ્લેટ ચેક કરતા તે ખોટી હોવાનું સામે આવ્યુ હતું. પીસીબીએ તરતજ વિક્કીની ધરપકડ કરી હતી. વિક્કીએ પીસીબીની પુછપરછમાં કબુલાત કરી છેકે દારૂ ભરેલી કારને મધર ડેરી પાસેના કનોરીયા હોસ્પિટલના પાર્કિગમાં લઈ જવાની હતી. પોલીસ પકડે નહી તે માટે પહેલા સોનુ ઉર્ફે ભુંકપ અને ડ્રાઈવર પાઈલોટીંગ કરતા હતા. જો પોલીસ જોવા મળે તો તરતજ સોનું એલર્ટ કરી દેતો હતો. બ્રાન્ડેડ બોટલમાં લોકલ શરાબ ભરી વેચવાનું રેકેટઓઢવના આદીનાથનગર વિસ્તારમાં આવેલી અરિહંત સોસાયટીમાં રહેતી શાહ દંપતી વિદેશી દારૂ બનાવવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દંપતીએ ભેગા થઈને ડુપ્લિકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યુ હતુ. પોલીસે બાતમીના આધારે શાહ દંપતીના ઘરમાં દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાની કિંમતનો ડુપ્લિકેટ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે લક્ષ્મી શાહની ધરપકડ કરી છે અને અલ્પેશ શાહ વોન્ટેડ છે. અલ્પેશ શાહની દીકરીના લગ્ન હોવાથી તેમણે દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે અલ્પેશના ઘરમાંથી દારૂ બનાવવાનું મટીરીયલ, કાચની બોટલ, વિવિધ દારૂની બ્રાન્ડના સ્ટીકર અને બુચ જપ્ત કર્યા છે.પોલીસની રેડ બાદ અલ્પેશ વોન્ટેડ છે અને લક્ષ્મીની ધરપકડ કરી છે. હાલ પોલીસે દંપતી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અલ્પેશ દારૂની હોમ ડીલીવરી કરતો હોવાનું સામે આવ્યુ છે. સોલા, અસલાલી અને બગોદરામાંથી 83 લાખનો દારૂ ઝડપાયોઅમદાવાદ સહિત રાજ્યના ખુણેખુણે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ અડ્ડા ઉપર દરોડા પાડે છે તો ક્યારે રોડ પરથી દારૂ ઝડપી પાડે છે. ગઈકાલે સોલા, અસલાલી અને બગોદરાથી પોલીસે 83 લાખની કિંમનો દારૂ ઝડપી લીધો છે. ટાઈલ્સના પાવડર, ડાંગરની ખુસ્કી અને પ્લાસિટકના પીપડાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.
વડોદરા શહેરની પાલિકા સંચાલિત શાળાઓમાં દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા દેશમાં પ્રથમ વખત માસિક સુરક્ષા અભિયાન (Period Poverty Free Mission) શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત પૂ. ડોંગરેજી મહારાજ શાળા ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર નીરવભાઇ ઠક્કર, પાલિકાની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનબેન ઠક્કર અને પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓને પિરિયડ પોવર્ટી ફ્રી બનાવવાનો છે. પૂરાવા આધારિત (Evidence Based) અભિયાન શ્રવણ સેવા ફાઉન્ડેશનનો આ પ્રોજેક્ટ માત્ર કિટ વિતરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંપૂર્ણપણે એવિડન્સ બેઝ્ડ છે. આગામી 1 વર્ષ સુધી પાલિકાની 10 શાળાઓમાં દીકરીઓને નિયમિતપણે પિરિયડ હાઇજીન કિટ પૂરી પાડવામાં આવશે. સંસ્થા દ્વારા આ કિટના ઉપયોગ અને તેનાથી દીકરીઓના સ્વાસ્થ્યમાં આવતા સુધારાનો ચોક્કસ રેકોર્ડ રાખવામાં આવશે. આ ડેટાના આધારે ભવિષ્યમાં આ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. સંસ્થા છેલ્લા 5 વર્ષથી વૃદ્ધો અને પશુઓની સેવામાં કાર્યરત છે અને હવે દીકરીઓ માટે આ નવો આયામ શરૂ કર્યો છે. હાઇજીન કિટની વિશેષતાઓ પ્રોજેક્ટ પેડ સેફ હેઠળ તૈયાર કરવામાં આવેલી કિટ અત્યંત આધુનિક અને ઉપયોગી છે. દરેક દીકરીને તેની માસિક જરૂરિયાત કરતા વધુ એટલે કે 10 સેનેટરી પેડ્સ, વેટ ટિશ્યું, પેપર સોપ, ડિસ્પોઝેબલ બેગ અને ટાઇમ ટેબલ સાથેની માર્ગદર્શિકા આપવામાં આવશે. આ સુવિધાને કારણે દીકરીઓએ હવે માસિક દરમિયાન કોઈની પણ પર નિર્ભર રહેવું પડશે નહીં. વધુમાં, માસિક દરમિયાન થતા અસહ્ય દુખાવામાં રાહત મળે તે માટે દરેક શાળામાં 2 Electric Bags (ઠંડો-ગરમ શેક કરવા માટે) પણ આપવામાં આવશે. રાજ્યનું પ્રથમ 'પિરિયડ ક્લિનિક' આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે ગુજરાતમાં સંભવિત રીતે પ્રથમ વખત શાળાઓમાં પિરિયડ ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ ક્લિનિકમાં દર મહિને નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ શાળાઓની મુલાકાત લેશે. તેઓ દીકરીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓને સાંભળશે અને તેનું યોગ્ય તબીબી માર્ગદર્શન પૂરું પાડશે. આ ક્લિનિક દ્વારા માસિક સંબંધિત સામાજિક માન્યતાઓ દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સુદ્રઢ પરિણામોની અપેક્ષા પ્રોજેક્ટ હેડ વાચા પંડ્યાના જણાવ્યા મુજબ, આ અભિયાન દ્વારા દીકરીઓની અંગત જરૂરિયાતો અને તેમના પ્રતિભાવોનો સતત અભ્યાસ કરવામાં આવશે. કિટમાં આપવામાં આવેલી વસ્તુઓ તેમને કેટલી ઉપયોગી નીવડી અને તેમના શારીરિક પ્રશ્નોમાં શું બદલાવ આવ્યો, તેનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. વડોદરાથી શરૂ થયેલું આ અભિયાન સમગ્ર દેશ માટે એક મોડેલ સાબિત થશે, જે પુરાવા અને વિજ્ઞાનના આધારે દીકરીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવા પ્રેરિત કરશે.
વડોદરાના ભાયલી ખાતે આવેલ વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલો વધી ગયો છે કે, ભાયલી ગામના પૂર્વ સરપંચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રાવણ અવતારમાં દેખાડતું AI પોસ્ટર લઈને વિરોધ કર્યો છે. આ પોસ્ટરનો AI વીડિયો સો.મીડિયામાં પણ વાઈરલ થયો છે, જેને પગલે વડોદરામાં ભારે ચર્ચા જાગી છે. પૂર્વ સરપંચે વિરોધરૂપે ગામના છેવાડે બેનર લગાવ્યું છે અને તળાવના બ્યુટિફિકેશન વચ્ચે ગંદા પાણીના નિકાલે સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે, તાત્કાલિક ગટર લાઈન બંધ કરી તળાવ બચાવવામાં આવે. આ મામલે દિવ્યભાસ્કરે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. વીડિયોમાં મ્યુ. કમિશનરને રાવણ બતાવીને તેમને જોર જોરથી હસતા બતાવ્યાવાયરલ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, હું અરૂણ મહેશ બાબુ વડોદરા મ્યુનિસિપલ કમિશનર... મેં ભાયલી ગામનું વિમળેશ્વર તળાવ ગંદુ બનાવવા પ્રતિજ્ઞા લીધી છે અને મેં ભાયલી ગામનું વિમળેશ્વર તળાવ માં ગટરનું મળ મૂત્ર પાણી છોડવા નું શરૂ કરી દીધું છે. કોઇની તાકાત હોઇ તો ગંદકી કરતા રોકી બતાવે ઇ... હા હા હા હા... છે કોઈ મર્દનો બચ્ચો. ઇ હા હા હા... હું કોઇ પણ કાળે સ્વચ્છ ભારત મિશન સફળ નહીં થવા દઉં.. અંધેર કાયમ રહે.. શૈતાન જિંદાબાદ... અને વીડિયોમાં મ્યુનિસિપલ કમિશનરને રાવણ બતાવીને તેમને જોર જોરથી હસતા બતાવ્યા છે. 31 ડિસેમ્બરે ટેલિફોનિક સમય માંગ્યો પણ હજુ સુધી જવાબ આપ્યો નથીભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે જણાવ્યું હતું કે, ભાયલી ગામના વિમલેશ્વર તળાવમાં કોર્પોરેશન દ્વારા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. મેં 31 ડિસેમ્બરના રોજ કમિશનરને મળવા માટે ટેલિફોનિક સમય માંગ્યો હતો, પરંતુ તેમની ઓફિસ તરફથી કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ કમિશનર પાસે સામાન્ય કરદાતાઓને મળવાનો સમય નથી પરંતુ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ગરબા જેવા કાર્યક્રમોમાં જવાનો પૂરો સમય છે. સામાન્ય જનતાની મુશ્કેલીઓ પ્રત્યે તેઓ સાવ ઉદાસીન છે. તળાવના બ્યુટિફિકેશન પાછળ 6 કરોડ ખર્ચવામાં આવ્યા છેતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તળાવના બ્યુટિફિકેશન પાછળ આશરે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ તેમાં ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. અધિકારીઓ માત્ર બે કલાક માટે આવે છે અને આખા દિવસનો લાખો રૂપિયાનો પગાર વસૂલે છે પણ સ્થળ પર કોઈ કામગીરી દેખાતી નથી. આખું તળાવ ગંદકીથી ભરાઈ ગયું છે. ગઈકાલે મંગળવારે અમે જ્યારે આ પોસ્ટર લગાવ્યું ત્યારે તંત્ર થોડું જાગ્યું અને મામૂલી કામગીરી કરી છે, પરંતુ તે પૂરતી નથી. ગટરનું પાણી હજુ પણ તળાવમાં જઈ રહ્યું છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે આવનારા સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરીશું. તેઓએ ઉમેર્યું હતું કે, અમે આ 'અહંકારી કમિશનરને ઉદ્યોગપતિઓ અને મોટા લોકો માટે સમય છે, પણ જે કરદાતાઓના પૈસાથી તંત્ર ચાલે છે, તે સામાન્ય લોકોની વાત સાંભળવા તેમની પાસે સમય નથી. અમે આ પોસ્ટર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને લોકોમાં પણ જાગૃતિ લાવવા માંગીએ છીએ.
શહેરના વાડજ વિસ્તારમાં ગત વર્ષે એક ગાડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતા ડ્રગ્સ હોવાની માહિતી આપનાર વ્યક્તિએ જ ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવી પોતાના કૌટુંબિક ભાઇને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં લાઈવ ડિટેક્ટર ટેસ્ટ પણ કર્યો હતો. હકીકત સામે આવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બાતમી આપનારે જ કારમાંથી 10 પડીકી કાઢીને પોલીસને આપીવાડજ વિસ્તારમાં રહેતા પ્રદ્યુમન લુહારે ગત વર્ષે એપ્રિલ મહિનામાં પોલીસને જાણ કરી એક ઈકો કારમાં શંકાસ્પદ પડીકી છે. જેથી વાડજ પીઆઇ સહિતનો કાફલો બાતમી વાળી જગ્યાએ પહોંચી જ્યાં ઈકો કાર હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું. જેથી બાતમી આપનાર પ્રદ્યુમને જ જાતે તપાસ કરીને કારમાંથી 10 અલગ અલગ પડીકી કાઢીને પોલીસને આપી હતી. પોલીસની તપાસમાં પડીકીઓમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યુંપોલીસે તપાસ કરી તો ઈકો કારનો માલિક ગોપાલ લુહાર હતો. પોલીસે આ અંગે તપાસ કરી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ તપાસમાં આ પડીકીઓ ડ્રગ્સની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાતમી આપનાર પ્રદ્યમનની કામગીરી શંકાશીલ લાગી હતી. પોલીસે કારના માલિકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેમની કારમાં સવારથી 3 લોકો બેઠા હતા. પોલીસને બાતમીદાર અને અન્ય એક વ્યક્તિ પર શંકા ઉપજીપોલીસે કારમાં બેસેલા લોકોની તપાસ કરતા સંજય લુહાર પણ શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસે સમગ્ર મામલે જાણવા જોગ નોંધ લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસને સમગ્ર કેસમાં કારમાં માલિક નિર્દોષ હોવાનું જણાતા પોલીસે બાતમી આપનાર પ્રદ્યુમન અને કારમાં બેસનાર સંજયની તપાસ શરૂ કરી હતી. બંને આરોપીના લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા પોલીસે જણાવ્યુંપોલીસ તપાસમાં સંજયે કબૂલાત કરી હતી કે, તેણે જ કારમાં પ્રદ્યુમનના કહેવાથી પડીકીઓ મુકી હતી. જોકે કોઈ પુરાવા ન હોવાથી પોલીસે બંનેને લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જેમાં સંજય તૈયાર થયો હતો પરંતુ પ્રદ્યુમન તૈયાર ન થતા પોલીસે સંજયનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સંજયે હકીકત જણાવી હતી. જે FSLમાં મોકલતા સંજયે જણાવેલી વિગત સાચી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની 8 મહિના લાંબી પ્રક્રિયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપી પ્રદ્યુમન અને સંજયની ધરપકડ કરી છે. નાનાભાઈની પત્નીના અન્ય સાથે લગ્ન કરાવતા બંને વચ્ચે વિખવાદપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રદ્યુમન અને કાર માલિક ગોપાલ બંને કૌટુંબિક ભાઈઓ છે. પ્રદ્યુમનના નાનાભાઈની પત્ની પિયર જતી રહી હતી. જેના ગોપાલે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારથી પ્રદ્યુમન અને ગોપાલ વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઈ હતી. આ બાબતની અદાવત રાખીને ગોપાલને ખોટા NDPS કેસમાં ફસાવવા સંજય લુહારની મદદથી કારમાં પડીકી મુકાવી હતી. પૈસાની મદદ કરવાના બહાને સંજય પાસે કારમાં પડીકી મુકાવી સંજય લુહારને પડીકીમાં ડ્રગ્સ હતું તેની જાણ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સંજય લુહાર પર ચેક રિટર્ન કેસ ચાલી રહ્યો હતો. જે લડવા પૈસા નહોતા જેથી સંજયે પ્રદ્યુમનને જાણ કરી હતી. જેથી પ્રદ્યુમને સંજયને મદદ કરવાની બાહેંધરી આપી બદલામાં સંજયને માતાજીના સમ આપી ગોપાલની કારમાં પડીકી મુકાવી હતી.
હિંમતનગરમાં AP કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે 12 રોકાણકારોના કુલ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અનિલ પરમાર સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારી અનિલ પરમારે હિંમતનગરમાં આરટીઓ ચાર રસ્તા વિસ્તારમાં AP કન્સલ્ટન્સીની ઓફિસ ભાડે રાખી હતી. તેણે રોકાણકારોને ક્રિપ્ટો સહિતના રોકાણ પર 10 થી 15 ટકા ઊંચા વળતરની લાલચ આપી હતી. અનિલ પરમારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત 12 લોકોએ તેની સ્કીમમાં રોકાણ કર્યું હતું. રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા ચાર મહિના અગાઉ રજૂઆતો કરી હતી, પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચર્યા બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતભરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાવાનો છે, ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનતાની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ જાણવા માટે એક વિશેષ અભિયાન ‘કોંગ્રેસ આપકે દ્વાર’ (હર ઘર કોંગ્રેસ) શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ રાજકોટના વોર્ડ નંબર 4 માંથી કરવામાં આવ્યું હતું, જે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરનો પોતાનો વિસ્તાર છે. આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ 18 વોર્ડમાં મળી 54,000 લોકોના ફોર્મ ભરી તેના પ્રશ્નો જાણશે. આ અભિયાન દ્વારા સીધો જનસંપર્ક સાધી ભાજપના શાસનમાં લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે તેનો ચિત્તાર મેળવશે. બાદમાં લોકોની આ સમસ્યાઓ દૂર થાય તેવો મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે. એટલે કે કોંગ્રેસનો મેનીફેસ્ટો પરોક્ષ રીતે પ્રજા દ્વારા જ તૈયાર કરવામાં આવશે. 'પંચાયત અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી ભાજપનું શાસન'રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં નગરપાલિકાથી લઈને પંચાયત અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી ભાજપનું શાસન છે, પરંતુ ભ્રષ્ટ શાસન લોકોની વેદના ભૂલી ગયું છે. મહાનગરપાલિકાના શાસકો પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ હવેથી લોકોના દ્વાર સુધી પહોંચશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો પોતાના વિસ્તારમાં કઈ સુવિધાઓથી વંચિત છે અને તેઓ પોતાના સપનાનું રાજકોટ કેવું ઈચ્છે છે તે જાણી શકાય. લોકો પાસેથી જે પ્રતિભાવો મળશે, તેના આધારે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરશે. એટલે કે, આ વખતે કોંગ્રેસનો મેનિફેસ્ટો એ ખરા અર્થમાં ‘પ્રજાનો મેનિફેસ્ટો’ બની રહેશે. દરેક વોર્ડમાં આશરે 3,000 ફોર્મ ભરાવવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દરેક વોર્ડમાં જશે અને લોકોની ફરિયાદો તેમજ સૂચનો મેળવવા માટે એક ફોર્મ ભરાવશે. આયોજન મુજબ, દરેક વોર્ડમાં આશરે 3,000 ફોર્મ ભરાવવામાં આવશે. આમ, સમગ્ર રાજકોટનાં 18 વોર્ડમાંથી અંદાજે 54,000 પરિવારોનો સીધો સંપર્ક કરી તેમની વેદનાઓને વાચા આપવામાં આવશે. આ ફોર્મમાં મોંઘવારી, બેરોજગારી, પાણીની અછત, તૂટેલા રસ્તા, ડ્રેનેજની સમસ્યા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો અંગે જનતાનો અભિપ્રાય લેવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ પ્રમુખ સહિતના આગેવાનો-કાર્યકરોએ હાજર રહ્યાં કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવતા આ અભિયાનની શરૂઆત વોર્ડ નંબર 4થી કરી છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી રાજકોટના મેયર પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસનું માનવું છે કે જો મેયરના પોતાના જ વિસ્તારમાં લોકો પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા હોય, તો સમગ્ર શહેરની સ્થિતિ શું હશે તે સમજી શકાય છે. આજના અભિયાન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ પ્રમુખ પરેશ પરમાર સહિતના અનેક આગેવાનો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા. તેમજ અંદાજે 3,000 લોકોના ફોર્મ ભરાવી તેની સમસ્યાઓ સાંભળી હતી. ઉલ્લેખનીય છે કે, મેનીફેસ્ટો ઉપરાંત આ જનસંપર્ક દરમિયાન મળેલી ફરિયાદો અને સૂચનોના આધારે કોંગ્રેસ આગામી દિવસોમાં મ્યુ. કોર્પોરેશનના સંબંધિત વિભાગો સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરશે. જો પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપશે. ‘જનતાની વેદના – કોંગ્રેસની જવાબદારી’ ના નારા સાથે શરૂ થયેલા કોંગ્રેસના આ અભિયાને હાલમાં રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં CGST વિભાગ દ્વારા સોની વેપારીઓ સામે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટેક્સચોરીની આશંકાએ શહેરની ત્રણ જાણીતી સોની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. જેથી વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. ત્રણ પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈપ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ સ્થિત પરશુરામ દયારામ જવેલર્સના શોરૂમ પર CGST વિભાગની ટીમે વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, શહેરની જાણીતી પેઢી શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ કાર્યવાહી ચાલી રહી છે. હિસાબી દસ્તાવેજો, બિલ-બુક સહિતની ચકાસણીઆ સમગ્ર કાર્યવાહી CGST જૂનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સર્ચ દરમિયાન વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો, બિલ-બુક, કમ્પ્યુટર ડેટા અને GST સંબંધિત રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. વેરાવળના જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળીGSTના દરોડાની જાણ થતાં જ વેરાવળના જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળી હતી. ઘણા વેપારીઓએ પોતાના શોરૂમ બંધ કરી દીધા હતા, જેના કારણે બજાર વિસ્તારમાં અસામાન્ય શાંતિ છવાઈ ગઈ હતી. આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતાનો માહોલ છે. કેટલાય કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતાહાલમાં CGST વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને કેટલાય કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કરચોરીનું કેટલું પ્રકરણ બહાર આવશે તે અંગે સ્પષ્ટતા થશે. CGST વિભાગ તરફથી અધિકૃત રીતે હજુ સુધી કોઈ આંકડા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસના અંતે વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.
સૌરાષ્ટ્રમાં વીરપુરથી આગળ કાગવડ ગામ પાસે લેઉવા પટેલ સમાજના કરદેવી મા ખોડલનું ભવ્યાતિભવ્ય મંદિર બન્યું-ખોડલધામ. સમય જતાં આસ્થાના આ હવનમાં સમય જતાં રાજકારણનું ઘી હોમાતું રહ્યું. ગુજરાતની ચૂંટણી આવે એટલે ખોડલધામ અને નરેશ પટેલ આપોઆપ ચર્ચામાં આવી જાય. એનું કારણ છે- લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી વોટબેન્ક. ત્રણ વર્ષ પહેલાં અનાર પટેલને ખોડલધામનાં ટ્રસ્ટી બનાવાયાં હતાં. હવે સંગઠનના અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. એવું મનાય છે કે આની પાછળ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ચોક્કસ ચાર સ્ટ્રેટેજી છે. પહેલી સ્ટ્રેટેજી એ કે સંગઠનનાં અધ્યક્ષ તરીકે મહિલા હોય તો આખા ગુજરાતમાં ખોડલધામનું સંગઠન મજબૂત બને. બીજી સ્ટ્રેટેજી એ છે કે આવનારા મહિનાઓમાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ આવવાની છે તેમાં આ સંગઠનનો હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે. ત્રીજું, 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામનો હાથ ઉપર રહી શકે. ચોથી સ્ટ્રેટેજી એ છે કે ગુજરાતની ગાદીએ લેઉવા પટેલ મુખ્યમંત્રી હોવા જોઈએ, તેવી માગણી નરેશ પટેલ કરતા આવ્યા છે. કદાચ આ ગાદી સુધી અનાર પટેલને પહોંચાડવા તખ્તો ઘડાઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે. અનાર પટેલની સમાજકારણમાંથી રાજકારણ તરફ ગતિખોડલધામના જ આંતરિક સૂત્રોએ નામ ન આપવાની શરતે અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવવા પાછળની સ્ટ્રેટેજી જણાવી હતી. સૂત્રોએ કહ્યું કે, ખોડલધામ અત્યાર સુધી સૌરાષ્ટ્ર સેન્ટ્રીક બનીને રહી ગયું હતું. ખોડલધામનું સંગઠન સૌરાષ્ટ્રમાં મજબૂત છે પણ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં વધારે મજબૂત બનાવવા માટે ચોક્કસ ચહેરાની જરૂર હતી. આના માટે અનાર પટેલ ઉચિત નામ હતું. અનાર પટેલ પોતે સામાજિક રીતે જાણીતું નામ છે. તેમનાં માતા આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. આનંદીબેનનું કદ ભાજપમાં બહુ મોટું છે. તેનો ફાયદો પણ ખોડલધામને મળી શકે. અન્ય એક સૂત્રએ કહ્યું કે, ખોડલધામમાં અનાર પટેલને સંગઠનમાં અધ્યક્ષ બનાવવાથી રાજકીય ગરમાવો પણ આવશે. એક પ્રકારે એને રાજકારણમાં એન્ટ્રીની જ જાહેરાત કહી શકાય. આ કિસ્સામાં બંને તરફ ફાયદો થશે. લેઉવા પટેલ સમાજને પણ ફાયદો થશે અને અનાર પટેલને પણ ફાયદો થશે તેવી વાત જાણવા મળી રહી છે. આગામી દિવસોમાં લેઉવા પટેલ એક થઈને અનાર પટેલને સ્વીકારે તો 2027ની ચૂંટણીમાં અનાર પટેલની સત્તાવાર એન્ટ્રી થાય તો પણ નવાઈ નહીં. હાલ તેના બીજ રોપાઈ ગયા તેવું ચોક્કસપણે કહી શકાય. આમ જોઈએ તો ખાનગીમાં જાહેર જેવી વાત છે નરેશ પટેલ અને આનંદીબેન ને વર્ષોથી અંગત પારિવારિક સંબંધો રહ્યા છે અને ખોડલધામ એવું પ્લેટફોર્મ છે કે જે રાજકારણમાં સીધી એન્ટ્રી લઈ શકો તમે અને સમાજનો ટેકો પણ મળે. હાલ અનાર પટેલને ખોડલધામમાં મોટા હોદા પર બિરાજમાન કરી એક રીતે આગામી દિવસોમાં ગુજરાત લેવલે મોટો ચહેરો તૈયાર કરવાની પણ આ એક રણનીતિ કરી શકાય. અનાર પટેલ ત્રણ વર્ષ પહેલાં ખોડલધામના ટ્રસ્ટી બન્યાં હતાંગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત કોઈનાથી છુપી નથી. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ત્રણ વર્ષ પહેલાં જ ખોડલધામ ટ્રસ્ટમાં પ્રવેશ કરી લીધો હતો. તેમની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી નહોતી. વિધાનસભાની ચૂંટણી બાદ ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ રહી છે. જેને ગુજરાતના રાજકારણમાં એક મોટાં પગલાં તરીકે જોવામાં આવે છે. અનાર પટેલ ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ બનવાથી નરેશ પટેલ અને જયેશ રાદડિયાની તકરારને ક્યાંક હવે બ્રેક લાગશે.જાહેરમાં હવે શાબ્દિક યુદ્ધ ને વિરામ મળે તો નવાઈ નહિ.જયેશ રાદડિયા કદ હવે સાવ મર્યાદિત થઈ જાય તો પણ નવાઈ નહિ. ભાજપ હવે ખોડલધામ તરફ ઝુકાવ રાખે એવું પણ બને કેમકે લેઉવા પટેલની વોટ બેન્ક મજબૂત છે.હાલ પણ ખોડલધામના નામનો લાકડિયો તાર ચૂંટણી સમયે ફરતો હોય છે મોટો આધાર તેના પર હોય છે. અનાર પટેલને મોટું પદ મળતાં નરેશ પટેલનું કદ હજી ઊંચું થશે. અનાર પટેલને આનંદી પટેલના સમર્થકોનો મજબૂત ટેકો મળશે.જેનો ફાયદો આવનારી ચૂંટણીમાં જોવા મળશે. 21 જાન્યુઆરીએ જ નવી જાહેરાતથી ખોડલધામમાં હલચલખોડલધામ મંદિરનો શિલાન્યાસ થયો ત્યારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી તમામ મહત્વના કાર્યક્રમો 21 જાન્યુઆરીએ જ થયા છે. ખોડલધામના આંગણે કૃષિમેળો હોય, સમૂહ લગ્ન હોય કે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય. તમામ કાર્યક્રમો 21 જાન્યુઆરીએ જ થયા છે. આ પરંપરા જાળવીને નરેશ પટેલ દ્વારા ખોડલધામના આંગણે 21 જાન્યુઆરીએ કોઈને કોઈ આયોજન થાય છે. આ વખતે કન્વીનર મીટ રાખી હતી અને તેમાં અનારબેનનાના નામની જાહેરાત કરવામાં આવી હતી. 21 જાન્યુઆરીના જ દિવસે ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે જાહેરાત થતાં ખોડલધામના ટ્રસ્ટીગણો અને કાર્યકર્તાઓમાં પણ હલચલ મચી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ બની રહ્યું છે ખોડલધામ મંદિરસૌરાષ્ટ્રના કાગવડમાં ખોડલધામનું નિર્માણ થયું હવે ખોડલધામ આખા ગુજરાતમાં વિસ્તાર કરે છે. હાલમાં મહેસાણા-પાટણ નજીક સંડેર ગામ પાસે ખોડલ માતાનું નવું મંદિર બની રહ્યું છે. ગાય વર્ષે તેની શિલાન્યાસ વિધિ થઈ હતી, હાલમાં કામ ચાલી રહ્યું છે. આનંદીબેન પટેલ, અનાર પટેલ પણ ઉત્તર ગુજરાતના છે એટલે ખોડલધામ હવે સૌરાષ્ટ્ર પૂરતું સિમિત ન રહીને અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર કરી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટીઓ ચૂંટણી લડી ચૂક્યા છેઅગાઉ પણ ખોડલધામમાંથી અનેક ટ્રસ્ટી ચૂંટણી લડી ચૂક્યા છે એટલે એવું છે જ નહીં કે રાજકરણ સાથે કોઈ સંબંધ નથી. રાજકોટના ધારાસભ્ય પદ માટે રમેશ ટીલાળાને ભાજપની ટિકિટ અપાવવા ખોલધામનો જ પ્રયાસ હતો અને જીત્યા પણ ખરા. એ પહેલાં કોંગ્રેસમાંથી દિનેશ ચોવટિયા લડ્યા હતા એ ખોડલધામ જ હતા જો કે તેની હાર થઈ હતી. એમ તો રવિ આંબલિયા, ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી) જેવા ટ્રસ્ટીઓ ચૂંટણી લડી ચૂક્યા છે પણ તેમની હાર થઈ છે. નરેશ પટેલ હમેશાં ચૂંટણી સમયે બધા પક્ષ સાથે ખોડલધામમાં બંધ બારણે મિટિંગ કરતા જ હોય છે અને વિવાદો પણ થયા છે. મૂળ તો કોંગ્રેસ વિચારધારા ધરાવતા નરેશ પટેલ કોઈ પાર્ટી ને નારાજ કરતા નથી પણ હાલ તેનો ઝુકાવ સત્તાધારી પક્ષ ભાજપ તરફી જોવા મળતો હોવ તેવું રાજકીય લોકો કહી રહ્યા છે. કોણ છે અનાર પટેલ?અનાર પટેલ છેલ્લા 34 વર્ષથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ જાણીતાં સમાજસેવિકા, માનવ સાધના ટ્રસ્ટના સહ-સ્થાપિકા છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલનાં પુત્રવધૂ છે. B.Sc. અને MBA (નિરમા યુનિવર્સિટી) કર્યું છે. તેઓએ કુટુંબના સહયોગથી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે 7000થી વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડી રહ્યું છે. હસ્તકલા અને મહિલા સશક્તિકરણ માટે ગ્રામશ્રી અને ક્રાફ્ટરુટ્સની સ્થાપના કરી, જે અત્યાર સુધીમાં દેશના 21 રાજ્યોના 35000થી વધુ કારીગરોને રોજગારી આપી ચૂક્યું છે.
વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મુંબઈ તરફ મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. ટ્રેનોમાં વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓની માંગ અને તહેવારો તેમજ રજાના સમયગાળામાં મુસાફરીનું વધતું દબાણ ઘટાડવા માટે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આનાથી મુસાફરોને આરામદાયક અને સરળ મુસાફરી મળી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09017/09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે ટ્રેન નંબર 09017 (બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ) 25 જાન્યુઆરી, 2026થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે પ્રસ્થાન કરશે. તે બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી, 01 ફેબ્રુઆરી, 08 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09018 (વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ) 26 જાન્યુઆરી, 2026થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે પ્રસ્થાન કરશે. તે બીજા દિવસે પ્રાતઃ 04.55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરી, 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ દોડશે. આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. આનાથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને પણ સીધી સુવિધા મળશે. મુસાફરોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09017 અને 09018 માટે ટિકિટોનું બુકિંગ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)થી શરૂ થશે. મુસાફરો યાત્રી આરક્ષણ કેન્દ્રો ઉપરાંત IRCTCની વેબસાઇટ મારફતે પણ ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વધુ વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી વેરાવળ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુંબઈ તરફની મુસાફરી માટે મોટી રાહત મળશે અને રેલવે પરનો ભાર પણ ઘટશે.
યાત્રાધામ દ્વારકામાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને સૂચિત એરપોર્ટ પ્રોજેક્ટ મૂકાયો છે. વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામોની અંદાજે 800 એકર જમીન પર વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોએ બાંયો ચડાવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી સર્વેની કામગીરીને ખેડૂતોએ 'બળજબરી' ગણાવી આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દ્વારકાના પ્રાંત અધિકારી, અમોલ આવટે જણાવ્યું હતું કે, વસઈ અને આસપાસના ગામોના ખેડૂતોએ આજે અમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. હાલમાં અમે માત્ર સરકારના આદેશ મુજબ જમીનની ભૌગોલિક પરિસ્થિતિનું પ્રાથમિક નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ અંગેનો વિગતવાર રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે. ફળદ્રુપ જમીન અને રોજગારી છીનવાવાનો ભયસ્થાનિક ખેડૂતોના મતે, વસઈ અને તેની આસપાસના વિસ્તારોની જમીન અત્યંત ફળદ્રુપ છે અને અહીં મીઠા પાણીની સારી સુવિધા છે. દ્વારકા તાલુકાની ખેતી અને પશુપાલન મોટાભાગે આ પટ્ટા પર નિર્ભર છે. ખેડૂતોએ ભય વ્યક્ત કર્યો છે કે જો આ 800 એકર જમીન સંપાદિત કરવામાં આવશે, તો હજારો ખેડૂત પરિવારો બેરોજગાર થઈ જશે અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે થતા ખેડૂતોમાં નારાજગીસોમવારે જ્યારે દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ અગાઉ સરપંચને મીટિંગ માટે જાણ કરી હતી. ખેડૂતો મીટિંગની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તંત્રએ તેમની ગેરહાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે સીધો ખેતરોમાં સર્વે શરૂ કરી દીધો. કોઈપણ પૂર્વ મંજૂરી વિના ખેતરોમાં પ્રવેશ કરવો એ લોકશાહી વિરોધી છે. રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યુંઆજે ચારેય ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિકાસ કે એરપોર્ટના વિરોધી નથી, પરંતુ એરપોર્ટ આ ફળદ્રુપ જમીનને બદલે દ્વારકાની આસપાસ આવેલી અન્ય બિન-ઉપજાઉ કે પડતર જમીન પર બનાવવામાં આવે. જો સરકાર આ મામલે યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં સંગઠિત થઈને કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
પોરબંદર ડોમિનોઝ પિઝામાં તોડફોડ:30,000નું નુકસાન, બે આરોપીઓ સામે ગુનો નોંધાયો
પોરબંદરના ડોમિનોઝ પિઝા આઉટલેટમાં તોડફોડ અને ધમકીનો બનાવ બન્યો છે. વિજય હાજાભાઈ મોકરીયા અને તેમની પત્ની મંજુબેન મોકરીયાએ મેનેજર ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. આરોપીઓએ મેનેજરને ધમકાવી પૂછ્યું હતું કે, તમે મારા પતિ વિજયના દારૂ અંગે પોલીસને કેમ જાણ કરી તેને પકડાવ્યા? આ મનદુઃખને કારણે તેઓ ઉગ્ર બન્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે મેનેજર ઓફિસમાં કોમ્પ્યુટરનું માઉસ ખેંચી તોડી નાખ્યું. સીસીટીવી કેમેરા પણ ખેંચી નીચે પછાડી તોડી નાખ્યા. મેનેજરના બંને કોમ્પ્યુટર ટેબલ પર પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. આ તોડફોડને કારણે ડોમિનોઝ પિઝાને આશરે રૂ. ૩૦,૦૦૦/- નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના સમયે ગ્રાહકો અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે, પોલીસે વિજય હાજાભાઈ મોકરીયા અને મંજુબેન મોકરીયા સામે ધમકી, ગાળાગાળી, તોડફોડ અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ધસારાને પહોંચી વળવા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝન થઈને પસાર થશે, જે સૌરાષ્ટ્રના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રેનનું સમયપત્રક અને ફેરા ટ્રેન નંબર 09018 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 January, 2026 થી 23 February, 2026 સુધી દર સોમવારે દોડશે. આ ટ્રેન વેરાવળથી 11.05 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 04.55 કલાકે બાંદ્રા પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ 25 January, 2026 થી 22 February, 2026 સુધી દર રવિવારે બપોરે 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. મુખ્ય સ્ટોપેજ અને કોચની વ્યવસ્થા આ ટ્રેન મુસાફરો માટે કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંક્શન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાણ કરશે. ટ્રેનમાં સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અને જનરલ ક્લાસના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. બુકિંગની વિગતો આ સ્પેશિયલ ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ 22 January, 2026 થી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યારબાદ એટલે કે 23થી 24 જાન્યુઆરી દરમિયાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 25 જાન્યુઆરી બાદ ઠંડી ઘટશે25 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર ઘટશે. અત્યારે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. વાદળછાયું રહેવાની આગાહી અમદાવાદ શહેરમાં આજે હવામાન વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાવાની શક્યતા છે. શહેરમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. સાથે જ, તડકાની તીવ્રતા ઓછી રહેશે. આવતીકાલે મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જાણો ક્યાં કેટલી ઠંડી પડીઅમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 16.2 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 15 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 13 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 15.7 ડીગ્રી સેલ્સિયસ દ્વારકામાં 18 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 19.6 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 12.3 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 17.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
PM ઈ-બસ સેવાના પ્રારંભ પૂર્વે તંત્ર એક્શનમાં:ગંગાજળીયા તળાવ વિસ્તારમાંથી જર્જરિત બિલ્ડીંગ ઉતાર્યું
ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત કુલ 17 રૂટો પર બસો દોડવાની તૈયારીઓ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ વિસ્તાર જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી છે તેમજ આસપાસ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આગામી સમયમાં બીજા રુટ પર દબાણો હટાવવામાં આવશે, આગામી દિવસો પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 40 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી રહી છે જેના કારણે કોઈ જાનહાનિ ન થાય, તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવશે, દબાણ હટાવવાની ટીમ જ્યાં પણ જશે ત્યાં જો રિક્ષાઓ કે અન્ય વાહનો અડચણરૂપ જણાશે, તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત, કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને પણ આ કામગીરીમાં સામેલ કરવા માટે લેખિત જાણ કરવામાં આવશે, દબાણ હટાવ સેલ ના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે, આજરોજ સતત બીજા દિવસે પણ જે પી.એમ. ઈ-બસ સેવા શરૂ થવાની છે, એના રૂટમાં દબાણો દૂર કરેલ છે સાથે જ જે જૂનું બિલ્ડીંગ હતું જર્જરિત, જે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે સીટી બસ સ્ટેન્ડ તેને જર્જરિત હાલતમાં હોય, ભયમુક્ત કરવા માટે આજે એને ડિમોલેશન કરેલું છે, જેથી કરીને બસો શરૂ થાય ત્યારે કોઈ જાનહાનિ ન થાય અને રાહદારીઓ સરળતાથી અવરજવર કરી શકે
પોરબંદરમાં જમીન છેતરપિંડી કેસમાં ત્રણ આરોપી ઝડપાયા:વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજથી જમીન દીધી હતી
પોરબંદર શહેરમાં જમીન છેતરપિંડીના એક ગંભીર કેસમાં ઉદ્યોગનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદીના પતિની જમીન પરત અપાવવાનું કહી વિશ્વાસ કેળવી, ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચી નાખવાના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ગુનાહિત કાવતરું વર્ષ 2013 થી 2017 દરમિયાન રચવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના પતિની જમીન તેમના કુટુંબી ભાઈઓ પાસેથી પરત અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને તે જમીનનો કબજો ખાલી કરાવ્યો હતો. ત્યારબાદ, જમીન સંબંધિત ખોટા દસ્તાવેજો તૈયાર કરીને તે જમીન ત્રીજા પક્ષકારને વેચી દીધી હતી. આ રીતે ફરિયાદી અને તેમના પતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લાખા અરજનભાઈ કેશવાલા (ઉંમર 58, ધંધો ખેતી, રહે. પાલખડા ગામ, વિસાવાડા, પોરબંદર), દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા (ધંધો વેપાર, રહે. જનકપુરી સોસાયટી, કમલાબાગ પાછળ, પોરબંદર) અને ઇબ્રાહીમ અબુભાઈ લાખા (ઉંમર 55, ધંધો ખેતી તથા જમીન-મકાન લે-વેચ, રહે. ખાપટ, સરકારી કર્મચારી સોસાયટી પાસે, પોરબંદર)નો સમાવેશ થાય છે. તેમની ધરપકડ 20 જાન્યુઆરી, 2026 ના રોજ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. તેમની ધરપકડ માટે સઘન કાર્યવાહી ચાલુ છે. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત શહેરના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આજે બપોરના સમયે એક રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિદ્ધાર્થ રેસીડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી. એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયોમળતી માહિતી મુજબ સિટીલાઇટ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ રેસીડેન્સીના ચોથા માળે આવેલા એક બંધ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઆ ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. મજુરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જેહમત બાદ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર મળેલી મદદને કારણે આગ અન્ય ફ્લેટમાં પ્રસરતા અટકી હતી. ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયોપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફ્લેટમાં રહેલા ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી. આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ, ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
2021ના અણઉકેલ હત્યા કેસનો ભેદ ઉકેલાયો:LCBએ આરોપી અરજણ ઉર્ફે બીડી કરમટાની ધરપકડ કરી
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા આ ગુનામાં પોલીસે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 16 જૂન, 2021ના રોજ ધ્રુવાળાથી ધ્રુવાળા ગામના પાટિયા જતા રસ્તે, તળાવ સામેના સીમ વિસ્તારમાંથી આશરે 48 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં અ.મોત નં. 12/2021 સી.આર.પી.સી. કલમ 174 હેઠળ નોંધ કરવામાં આવી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા રિપોર્ટમાં સામે આવ્યું કે મૃતકને કોઈ પદાર્થ વડે શરીરે ગંભીર માર મારવામાં આવ્યો હતો. દાઢી, ગાલ અને શરીર પર થયેલી ઇજાઓના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે, 14 જુલાઈ, 2021ના રોજ અજાણ્યા આરોપી વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. A-11218004210278/2021 હેઠળ IPC કલમ 302, 201 તથા G.P. એક્ટ કલમ 135 મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. LCB દ્વારા આ કેસની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાનગી રાહે મળેલી માહિતી, અગાઉ મેળવેલા CCTV કેમેરાના ફૂટેજ અને કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR) ના આધારે આરોપીની ઓળખ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઈ કરમટા (ઉંમર 34, રહે. મેવાસાનેશ, તા. કુતિયાણા, જી. પોરબંદર) 15 જૂન, 2021ના રોજ પોતાના સાથીઓ સાથે જૂનાગઢ ગયો હતો. ત્રણ મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં તે કોઈ અન્ય વ્યક્તિને મારવા નીકળ્યો હતો. જોકે, તે વ્યક્તિ ન મળતા 16 જૂન, 2021ની રાત્રે તે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ જૂનાગઢ જિલ્લાના દડવા ગામના પાટિયા પાસે જૂનાગઢથી ચૌટા વાંક તરફ ચાલતા એક અજાણ્યા પુરુષને તેણે પોતાની સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેસાડ્યો હતો. આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યારે મરણજનાર અજાણ્યા ઇસમે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ દારૂના નશામાં તેને દોરી વડે ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ લાકડાના ધોકા અને હાથથી બેફામ માર મારતા તેનું મોત નિપજ્યું હતું.
રાજકોટ ડિવિઝનના રેલ મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ મહિનામાં જો તમે ઉત્તર ભારત તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો ટ્રેન રૂટમાં થયેલા ફેરફાર વિશે જાણી લેવું અનિવાર્ય છે. ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા-બુઢવલ સેક્શનમાં ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-ગોરખપુર એક્સપ્રેસના રૂટમાં ફેરફાર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આગામી 8 અને 15 March, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિયમિત રૂટ પર દોડશે નહીં. રેલવે ટ્રેક પર મેન્ટેનન્સ અને આધુનિકીકરણની કામગીરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન હવે તેના નિર્ધારિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-મનકાપુરના બદલે ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી પસાર થશે. કયા સ્ટેશન પર ટ્રેન નહીં જાય? આ આંશિક ફેરફારને કારણે ટ્રેન હવે બારાબંકીથી અયોધ્યા કેન્ટ થઈને મનકાપુર તરફ જશે. આ નવા રૂટને કારણે ટ્રેન ગોંડા સ્ટેશન પર ઉભી રહેશે નહીં. જે મુસાફરોએ ગોંડા સ્ટેશન માટે ટિકિટ બુક કરાવી હોય અથવા ત્યાંથી ટ્રેન પકડવાના હોય, તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા રૂટની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને હોળી અને વેકેશનના સમયગાળા દરમિયાન મુસાફરોની ભીડ રહેતી હોય છે, ત્યારે આ ફેરફાર મુસાફરીના આયોજન પર અસર કરી શકે છે. મુસાફરો માટે રેલવેની ખાસ સૂચના રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરી લે. આ ફેરફાર માત્ર 8 અને 15 March ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેનો માટે જ લાગુ પડશે. સમયસર માહિતી મેળવવાથી મુસાફરો સ્ટેશન પર થતી છેલ્લી ઘડીની અસુવિધાથી બચી શકશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે ટ્રેક મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં મુસાફરોનો સહકાર અપેક્ષિત છે.
ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી એક મહિલાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુંઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી Dy.SP આર. આર. સિંઘલને સોંપાઈ20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી Dy.SP આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સિહોરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલી ગામની પે સેન્ટર શાળાના મહિલા શિક્ષિકાના વિદ્યાર્થીઓ સાથેના બેહુદા વર્તનને લઈ વાલીઓમાં રોષ ફેલાયો છે. મહિલા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરી વાલીઓએ બદલીની માગ કરી છે અને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય દ્વારા પણ શિક્ષિકા વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતો હોવાનો આક્ષેપપ્રાપ્ત વિગતો અનુસાર, આંત્રોલી પે. સેન્ટર શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષિકા કુંદનબેન રાઠોડ સામે ગંભીર આક્ષેપો થયા છે. વાલીઓનું કહેવું છે કે, આ શિક્ષિકા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સામે અત્યંત અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરે છે. માસૂમ બાળકોને એવા શબ્દો કહેવામાં આવે છે જે સાંભળીને કોઈપણ સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય. વાલીઓએ જણાવ્યું કે, અમારી દીકરીઓને મન ફાવે તેવા ગેરશબ્દો બોલવામાં આવે છે અને બાળકોના પહેરવેશ કે નાની ભૂલો પર તેમના પરિવારની ગરિમાને ઠેસ પહોંચે તેવા સવાલો કરવામાં આવે છે. શાળાના ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓએ પણ પોતાની વ્યથા ઠાલવતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ધોરણ 8 ના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, શિક્ષિકાના પિરિયડમાં અમારે સતત નીચું જોઈને જ બેસવું પડે છે. જો ભૂલથી પણ ઊંચું જોઈએ તો અમને ધમકાવવામાં આવે છે. એક સાથે 2-3 પાઠ ચલાવી દેવાય છે અને જો કંઈ સમજાય નહીં અને ફરી પૂછીએ તો તેઓ કહે છે કે સરકાર અમને બીજી વાર સમજાવવાનો પગાર નથી આપતી. ધોરણ 7 ની એક વિદ્યાર્થીનીએ પણ રડતા સ્વરે આક્ષેપ કર્યો કે શિક્ષિકા દ્વારા તેમના પ્રત્યે સતત અત્યાચાર ગુજારવામાં આવે છે અને અપમાનજનક શબ્દો વાપરીને તેમને માનસિક રીતે તોડી પાડવામાં આવે છે. બાળકોને શાળાએ ન મોકલી વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યોઆ મામલે વાલી પરબતભાઈ કેશવાલાએ જણાવ્યું કે, આ કોઈ આજની સમસ્યા નથી. ગત 16 ડિસેમ્બરના રોજ માંગરોળ તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે તપાસ પણ થઈ હતી, પરંતુ એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા શિક્ષિકા સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આજે વાલીઓ 'પ્રતીક ઉપવાસ' પર ઉતર્યા છે. પગાર ઓછો મળતો હોવાનું બહાનુંવાલીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પણ શિક્ષિકાને તેમના ગેરવર્તણૂક વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ એવું બહાનું કાઢે છે કે સરકાર અમને ડબલ પગાર નથી આપતી, તો અમે વધારે મહેનત કે સારું વર્તન કેમ કરીએ? એક શિક્ષક દ્વારા આવો જવાબ મળવો તે શિક્ષણ જગત માટે અત્યંત દુઃખદ બાબત છે. નાના બાળકો જેમનામાં સંસ્કારનું સિંચન કરવાનું હોય, તેમની સાથે જ આવું અમાનવીય વર્તન થતા આખું ગામ રોષે ભરાયું છે. તાળાબંધી અને ઉગ્ર આંદોલનની ચીમકીઆજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ તો આવ્યા હતા પણ વર્ગખંડમાં જવાને બદલે મેદાનમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ શિક્ષિકાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં નહીં આવે અથવા તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે, તો આવતીકાલથી શાળાને 'તાળાબંધી' કરવામાં આવશે અને કોઈ પણ બાળક શાળાએ જશે નહીં. આ અંગે ગાંધીનગર શિક્ષણ સચિવ સુધી પણ રજૂઆત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે આંત્રોલી શાળાના આચાર્ય ઉમેશ વાઢેર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હા શિક્ષિકાનું વર્તન યોગ્ય નથી.જેને લઇ મેં પણ જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને તે મામલે તપાસ પણ હાથ ધરાય છે.
વિરાટ કોહલીથી વનડે રેન્કિંગમાં નંબર-1નો 'તાજ' છીનવાયો, આ સ્ટાર બન્યો સર્વશ્રેષ્ઠ ખેલાડી
ICC ODI Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીને પાછળ છોડીને ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટર ડેરિલ મિચેલ વનડે ક્રિકેટમાં વિશ્વના નંબર-1 બેટર બની ગયો છે. ગત અઠવાડિયે જ ટોચના સ્થાને પહોંચેલા કોહલીને માત્ર ગણતરીના દિવસોમાં જ પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું છે. કોહલીનું સ્થાન કેમ નીચે ગયું?
ઉત્તરાયણના પર્વ બાદ રસ્તાઓ અને અગાશીઓ પર પડેલા દોરીના ગુંચળાઓ પશુ-પંખીઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે. ત્યારે મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે આ સમસ્યાના ઉકેલ માટે એક પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો છે. તેમણે શહેરભરમાંથી અંદાજે 800 કિલો જેટલી વેસ્ટ દોરીની ખરીદી કરી તેનું એકત્રીકરણ કર્યું છે. વિશેષ વાત એ છે કે, લોકો આ દોરી રસ્તા પર ન ફેંકે તે માટે તેમણે 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ વેસ્ટ દોરીની ખરીદી કરી હતી. મનપા કમિશનર રવિન્દ્ર ખતાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતાઆ એકત્રિત થયેલી દોરીનો જથ્થો આજે વિધિવત રીતે મહેસાણા મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર, ધારાસભ્ય મુકેશ પટેલ, અમૂલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ મનપા કમિશનર રવિન્દ્ર ખતાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનપા દ્વારા તમામ દોરીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશેસાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે, ઉતરાયણ બાદ ઠેર-ઠેર પડેલી દોરી પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે નુકસાનકારક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશને સાર્થક કરવાના હેતુથી આ સતત બીજા વર્ષે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે 800 કિલોથી વધુ દોરી એકઠી થઈ છે. જેમાં મોટો જથ્થો પ્રતિબંધિત ચાઈના દોરીનો છે. સાંસદના જીવદયાલક્ષી કાર્યની પ્રશંસા કરીમનપા કમિશનર રવિન્દ્ર ખતાલેએ આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, ચાઈના દોરીના જોખમને જોતા આગામી સમયમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ અને કડક અમલવારી માટે મનપા દ્વારા સખત નિર્ણયો લેવામાં આવશે. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સાંસદના આ જીવદયાલક્ષી કાર્યની પ્રશંસા કરી હતી.
સુરત શહેરના ભેસ્તારન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી બ્લુ સિટી બસના વાઈરલ વીડિયોએ મુસાફરની સુરક્ષાને લઈ ગંભીરા સવાલો ઉભા કર્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા વાઈરલ કરાયેલા આ વીડિયોમાં રસ્તા પર દોડી રહેલી સિટી બસનું ટાયર ફાટેલું જોવા મળી રહ્યું છે. તેમ છતા ડ્રાઈવર બેફામ સ્પીડે બસ દોડાવતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો બાદ ભાસ્કરે સુરતના ભેસ્તાન બસ ડેપોનું રિયાલિટી ચેક કરતા અનેક બસોના ટાયર ફાટેલા અને ઘસાયેલા જોવા મળ્યા હતા. બસની બારી અને સીટો તૂટેલી જોવા મળી. કોર્પોરેશન તંત્ર આવી બસો ન ચાલે તે માટે કોન્ટ્રાક્ટને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે. પરંતુ, બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, એજન્સીઓ તંત્રની નોટિસને પણ ગાંઠતી નથી અને 'ભંગાર' બસો દોડાવી રહી છે. ભેસ્તાન ડેપોમાં ભાસ્કરનું રિયાલિટી ચેકસિટી બસોના ટાયરોની વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવા માટે ભાસ્કરની ટીમ દ્વારા ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિટી બસના ડેપોની મુલાકાત લેવામાં આવી હતી. આ ડેપોમાં સુરતની અંદાજે 75 જેટલી બસો સર્વિસ માટે આવે છે. રિયાલિટી ચેક દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ડરામણા હતા. ડેપોમાં ઊભેલી મોટાભાગની બસોના ટાયરો તદ્દન ઘસાઈ ગયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર દોડવા માટે અયોગ્ય ગણાય તેવા ટાયરો સાથે બસોને હજુ પણ કાર્યરત રાખવામાં આવી રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ટાયરો ઘસાયેલા અને ફાટેલી હાલતમાં જોવા મળ્યા ડેપોના નિરીક્ષણ દરમિયાન જોવા મળ્યું કે, ઘણી બસોના ચાર ટાયરોમાંથી બે ટાયરો પૂરેપૂરા ઘસાઈ ગયા હતા, જ્યારે અમુક બસોમાં તો ટાયરો ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ટાયરોની ઉપરની રબરની સપાટી નીકળી ગઈ હોવા છતાં તેને બદલવાની તસ્દી લેવામાં આવી નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જર્જરિત ટાયરો સાથે બસો દોડાવીને હજારો નાગરિકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે. સીટો અને કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યામાત્ર ટાયરો જ નહીં, પરંતુ સિટી બસોની આંતરિક સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું કે બસની સીટો તો તૂટેલી છે જ, પણ આખી બસ જાણે કોઈ ભંગારનો ડબ્બો હોય તેવી ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. બસની બોડીમાંથી સતત અવાજો આવવા અને બારીઓના કાચ પણ જર્જરિત હોવાનું જણાયું હતું. મુસાફરોને પાયાની સુવિધાઓ આપવાને બદલે પાલિકા માત્ર ઓપરેટરોને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બસની આવી હાલત જોઈને તેમાં મુસાફરી કરવી તે કોઈ જોખમથી ઓછું નથી. ડેપો મેનેજરનો નફ્ફટાઈભર્યો જવાબજ્યારે આ સમગ્ર બાબતે ભેસ્તાન ડેપોના મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબદારી સ્વીકારવાને બદલે બચાવની ભૂમિકા લીધી હતી. મેનેજરે જણાવ્યું હતું કે, તમામ સ્થિતિ સામાન્ય છે અને ટાયરોમાં કોઈ સમસ્યા નથી. જો ક્યારેય ટાયરમાં ખામી જણાય તો અમે રાત્રિના સમયે તેને બદલી નાખતા હોઈએ છીએ. નવાઈની વાત તો એ છે કેસ તેમણે એમ પણ ઉમેર્યું કે ચેરમેન તરફથી અમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી, જે તંત્રની બેદરકારી અને આળસુ નીતિનો પુરાવો આપે છે. મુસાફરોની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી- જિજ્ઞેશ પટેલનિયમિત મુસાફરી કરતા જીગ્નેશ પટેલે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે હવે સિટી બસમાં સફર કરવું ખૂબ જ મુશ્કેલ અને જોખમી બની ગયું છે. ઘણીવાર મુસાફરો દ્વારા ટાયરની ખરાબ હાલત અંગે ડ્રાઈવર કે કંડક્ટરને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ટાયર ફાટેલા હોય કે ઘસાઈ ગયેલા, બસો સતત ચલાવવામાં આવે છે. મુસાફરોના મતે, ટેક્સના પૈસા ચૂકવ્યા પછી પણ સુરતની જનતાને આવી જોખમી પરિવહન સેવા મળે તે કમનસીબી છે અને તંત્રએ જાગવું જોઈએ. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાંની જરૂરસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ સિટી બસ સેવા લાખો લોકોની જીવાદોરી છે. જો ટાયરોની સ્થિતિ આવી જ જર્જરિત રહેશે તો વરસાદી સીઝન કે સામાન્ય દિવસોમાં પણ બસ લપસવા કે પલટી જવાની પૂરેપૂરી શક્યતા છે. સત્તાધીશોએ માત્ર કાગળ પરની વાતો છોડીને વાસ્તવિક રીતે બસોનું મેઈન્ટેનન્સ કરાવવું જોઈએ. કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી નવા ટાયરો નાખવામાં આવે તે અનિવાર્ય છે. અન્યથા, આ બેદરકારી કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેશે ત્યારે જવાબદાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે. ચાલી ન શકે તેવી બસોને સેવામાંથી દૂર કરવા નોટિસ આપી છે- સોમનાથ મરાઠેજાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, બધી બસો એવી નથી. મારુતિ ટ્રાવેલ્સની 75 બસોમાંથી 15-20 બસો ખરાબ હાલતમાં છે. અમારી પાસે આ અંગેનો રિપોર્ટ આવ્યો છે. તેમણે 28 ફેબ્રુઆરી સુધીનો સમય પણ માંગ્યો છે. તેઓએ બોડી, ટાયર અને અન્ય વસ્તુઓની જાળવણી કરવાની હોય છે. જો તેઓ નહીં કરે, તો અમે તે બસોને સસ્પેન્ડ કરવાની નોટિસ પહેલેથી જ આપી દીધી છે. હાલમાં, એક્સટેન્શન મુજબ તેમની પાસે છ મહિના બાકી છે. મારુતિ ટ્રાવેલ્સ કંપનીની તમામ 75 બસો છ મહિના પછી ચોક્કસપણે રસ્તા પરથી હટાવી લેવામાં આવશે. અમે 600 નવી ઇલેક્ટ્રિક બસોની અપેક્ષા રાખી રહ્યા છીએ જે આવ્યા પછી અમને આ બસોની જરૂર પણ નહીં પડે. જો આપણે તેને તાત્કાલિક બંધ કરીશું, તો વિદ્યાર્થીઓ અને કામદારોને અસુવિધા થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,અમે પણ જીવનું જોખમ લેવા માંગતા નથી. ડેપોમાંથી માત્ર ફીટ હોય તેવી બસોને જ બહાર જવા દેવામાં આવશે. જો અન્ય કોઈ બસ રસ્તા પર જોવા મળશે તો દંડ વસૂલવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે આ અંગે નોટિસ પણ પાઠવી છે. મને મળેલા અહેવાલ મુજબ 15-20 બસો સારી હાલતમાં નથી. હવે, જો તેઓ આખી બસની બોડી પર કામ કરવા માંગતા હોય તો તે શક્ય નથી કારણ કે બસ આખો દિવસ ચાલે છે અને રાત્રે પૂરતી જાળવણી મળતી નથી. આ જ કારણસર નોટિસ આપવામાં આવી હતી. અમે સ્પષ્ટતા પણ માંગી રહ્યા છીએ. જો 28 ફેબ્રુઆરી સુધીમાં બસો સારી હાલતમાં નહીં થાય તો તેને રસ્તા પરથી હટાવી લેવામાં આવશે.7 વર્ષનું ટેન્ડર પહેલેથી જ પૂરું થઈ ગયું હતું અને તેને 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમાંથી હવે માત્ર છ મહિના બાકી છે.
પાટણના સોઢાવડમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો, દવાઓ-સાધનો જપ્ત કરાયા
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સોઢાવડ ગામે એક બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મેડિકલ સાધનો અને દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાને બાતમી મળી હતી કે, સોઢાવડ ગામના રબારીવાસમાં ચંપકલાલ શાહના મકાનમાં એક શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાનના એક રૂમમાંથી નટવર ઘુડાભાઈ જોશી નામનો શખ્સ ટેબલ-ખુરશી પર બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે નટવર જોશી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેના જરૂરી આધાર પુરાવા કે ડિગ્રીની માંગણી કરતા, તેની પાસે કોઈ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. આરોપીએ કબૂલ્યું કે, તે માત્ર ધોરણ 12 પાસ છે અને અનુભવના આધારે દરરોજ 10 થી 12 દર્દીઓને તપાસીને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપતો હતો. પોલીસને સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, વિવિધ ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલો, બેબી સોપ અને અન્ય એલોપેથીક દવાઓ સહિત કુલ રૂ. 2116.13 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ જગદીશકુમાર નવીનભાઈની ફરિયાદના આધારે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નટવરભાઈ જોશી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ભગવાનભાઈને સોંપવામાં આવી છે.
વલસાડ નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતની કામગીરી વધુ સઘન બનાવી છે. પાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, જેમાં પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવા તેમજ મિલકતો સીલ કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે. નગરપાલિકા વિસ્તારમાં 52 હજારથી વધુ મિલકત ધારકોને એપ્રિલ માસમાં વેરાના માંગણાં બિલ આપવામાં આવે છે. જૂન સુધી 10 ટકા રિબેટ મળે છે, જ્યારે ઓક્ટોબર બાદ દંડ વસૂલવામાં આવે છે. ફેબ્રુઆરીથી પાલિકા દ્વારા કડકાઈથી ઉઘરાણી શરૂ કરવામાં આવે છે. પાલિકાના સત્તાવાર સૂત્રો અનુસાર, આ વર્ષે કુલ 19.62 કરોડ રૂપિયાની ટેક્સ માંગણી સામે અત્યાર સુધીમાં 14.58 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. જોકે, હજુ પણ અંદાજે 25 ટકા જેટલી રકમ બાકી છે. બાકી વેરાની વસૂલાત માટે નગરપાલિકાએ અલગ-અલગ ટીમો બનાવી છે, જે બાકીદારોના ઘર અથવા વ્યવસાયિક સ્થળોએ રૂબરૂ જઈને વસૂલાત કરશે. પાલિકા દ્વારા બાકીદારોને પ્રથમ તબક્કાની નોટિસ અગાઉથી જ પાઠવી દેવામાં આવી છે. નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો 15 ફેબ્રુઆરી સુધીમાં બાકી વેરો ભરવામાં નહીં આવે, તો પાણી તથા ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ઉપરાંત, લાંબા સમયથી મોટા પાયે વેરો બાકી ધરાવતી મિલકતોને સીલ મારી જપ્ત કરી તેની હરાજી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. નગરપાલિકાના અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી વહેલી તકે પોતાનો બાકી વેરો ભરી દે, જેથી કડક કાર્યવાહીથી બચી શકાય.
મોરબીમાં 41 યુગલોના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન:અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ચોથો લગ્નોત્સવ સંપન્ન
મોરબી શહેરમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ચોથા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 20 જાન્યુઆરીના રોજ ખોખરાધામ મંદિર ખાતે યોજાયેલા આ પ્રસંગે 41 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ગોંડલ પુનીમાં આશ્રમના જયશ્રીકાનંદ ગીરી, શિવ પુરાણ પ્રવક્તા દમયંતીબેન જાની, પ્રભુચરણ આશ્રમના પ્રભુચરણદાસ, મુકેશ ભગત, તેમજ રામધન આશ્રમના નાથાભાઈ અને અનુબેન સેવક સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મહિલા પોલીસ પીઆઈ લઘધીરકા મેડમ, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રામભાઈ મહેતા જેવા સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. હરીહરધામ, ખોખરાના 1008 મહામંડલેશ્વર કન્કેશ્વરી દેવીજી અને રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજીએ તમામ દીકરીઓને શુભેચ્છા સંદેશ પાઠવી આશીર્વચન આપ્યા હતા. દાતાઓના સહયોગથી તમામ 41 દીકરીઓને સોના-ચાંદી સહિત 100થી વધુ ઘર ઉપયોગી અને આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમે સઘન પ્રયાસો કર્યા હતા. સફળ આયોજન બદલ દાતાઓ અને સહયોગ આપનાર તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ-મુંબઈ મુખ્ય લાઈન બાદ હવે ઉધના-જલગાંવ વચ્ચેના 306 કિમી લાંબા તાપી સેક્શન પર આધુનિક કવચ ટ્રેન ટક્કર નિવારણ પ્રણાલી લાગશે. ઉધના-જલગાંવ તાપી સેક્શન પર કવચ સિસ્ટમ લાગવાથી સુરત અને આસપાસના લાખો મુસાફરોને લાભ થશે. આ પ્રોજેક્ટથી માત્ર ટ્રેનોની સુરક્ષા નહીં, પરંતુ મુસાફરોનો રેલવે પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે. ભારતીય રેલવે માટે આ એક સુરક્ષિત અને આધુનિક ભવિષ્ય તરફનો મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. રેલ મંત્રાલયે આ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સુરત મારફતે દોડતી 60 ટ્રેનોને સીધો લાભ મળશેકવચ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ સુરત મારફતે દોડતી અંદાજે 60 મેઈલ, એક્સપ્રેસ, પેસેન્જર અને મેમુ ટ્રેનોને સીધો લાભ મળશે. રેલ મંત્રાલયની અમ્બ્રેલા વર્ક પ્લાન 2024-25 હેઠળ આ સમગ્ર યોજના માટે કુલ 483.65 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ઉધના-જલગાંવ તાપી સેક્શન પર કવચ સિસ્ટમ લાગવાથી સુરતથી ઉપડતી કે પસાર થતી ટ્રેનોને કવચનું સુરક્ષા કવચ મળશે. જેથી કરીને અકસ્માતની સંભાવના ઘટી જશે. આ ઉપરાંત ભારતીય રેલવે માટે આ એક સુરક્ષિત અને આધુનિક ભવિષ્ય તરફનો મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. કવચ શું છે અને કેમ જરૂરી છે?કવચ એક સ્વદેશી સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે. ટ્રેન ડ્રાઇવર તરફથી કોઈ ભૂલ થાય તો પણ આ સિસ્ટમ અકસ્માત અટકાવવામાં મદદ કરે છે. 'કવચ' (KAVACH) ટેકનોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે જો ટ્રેન દ્વારા સિગ્નલ તોડવામાં આવે તો તે આપમેળે બ્રેક લગાવી દે છે અને સામસામે ટ્રેનો આવી જવાની સ્થિતિમાં ટક્કર ટાળી અકસ્માત અટકાવે છે, સાથે જ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપ હોય તો ટ્રેનને નિયંત્રિત કરી રેલ અકસ્માતોની શક્યતામાં ધરખમ ઘટાડો કરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉધના-જલગાવ તાપી સેક્શન પર કવચ સિસ્ટમ સ્થાપિત કરવા માટે 109.83 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે પશ્ચિમ રેલવેના 436 લોકોમોટિવમાં જરૂરી ટેકનિકલ ફેરફાર અને અપગ્રેડેશન માટે 373.82 કરોડ ફાળવવા રેલ મંત્રાલયે બજેટ ફાળવ્યું છે. આ યોજના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળ રેલવેની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. 436 એન્જિનો અપગ્રેડ કરાશેટ્રેનોની સલામતી વધારવા, અકસ્માત રોકવા અને મુસાફરોના જીવ બચાવવા માટે કવચ સિસ્ટમ અંતર્ગત 436 એન્જિનોમાં અપગ્રેડેશન હાથ ધરાયું છે. આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ એન્જિનો કવચ સિસ્ટમ સાથે સંપૂર્ણપણે સુસંગત બની જશે. જેના કારણે ટ્રેનોમાં આપોઆપ બ્રેકિંગ, એન્ટિ કોલીઝન, સ્પીડ નિયંત્રણ જેવી ઊંચી સુરક્ષા સુવિધાઓ પ્રાપ્ત થશે.
અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર તરસાલીથી જામ્બુવા તરફ જતા માર્ગ પરથી એલસીબી ઝોન-3ની ટીમે ટ્રકમાંથી 21 લાખ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકચાલકને નીચે ઉતારી તપાસ કરતા બટાકાના થેલાની આડમાં બિયરની પેટીઓ સંતાડીને લઈ જવાથી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી શહેર LCB ઝોન 3ની ટીમે ચાલકની ધરપકડ કરી દારૂ ક્યાં લઈ જતો હતો અને કોણે મંગાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. આઇશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હાઈવે પર તરસાલીથી જામ્બુવા તરફ જઈ રહ્યો છે. તેવી બાતમી મળતા એલસીબી ઝોન 3ની ટીમે તરસાલીથી જામ્બુવા તરફ વોચ ગોઠવી હતી. આ દરમીયાન મુજબનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક આવ્યો હતો, ત્યારે પોલીસની ટીમે ચાલકને ટ્રક ઉભો રાખવા માટે ઇશારો કર્યો હતો. જેથી ચાલકે ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખ્યો હતો. ટ્રકચાલકને નીચે ઉતાર્યા બાદ તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરી હતી ત્યારે બટાકા ભરેલા થેલાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહેલો હતો.જેથી એલસીબી ઝોન 3ની ટીમે બટાકાના ઠેકા હટાવી જોતા બિયરના ટીન ભરેલી પેટી મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા 21 લાખનો બિયરનો જથ્થો કબ્જે કરવા સાથે ચાલકની ધરપકડ કરી હતી.
દહેગામ તાલુકાના ખાપરેશ્વર ગામની સીમમાં થઈ પથુપુરા ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા પગપાળા જઈ રહેલા વૃદ્ધને જીંડવા ગામના બાઈક ચાલકે પૂરઝડપે પાછળથી અડફેટે લીધા હતાં. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના પુત્રએ રખિયાલ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. મંદિરે દર્શન કરવા નીકળ્યા ને અકસ્માતમાં જીવ ગયોપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાપરેશ્વર ગામે રહેતા કરસનભાઈ પ્રભાતભાઈ રબારી ગઈકાલે બપોરે ઘરેથી પગપાળા પથુપુરા ખાતે આવેલા રામદેવપીરના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ખાપરેશ્વર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બાઈકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટૂંકી સારવારન દરમ્યાન વૃદ્ધનુ મોતઆ અકસ્માત સર્જાતા કરસનભાઈ રોડ પર પટકાતા જ બેભાન થઈ ગયા હતા. જેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક દહેગામની મમતા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રખિયાલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવારન દરમ્યાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બાઇક ચાલક ફરારઆ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને આ અકસ્માત સર્જનાર બાઇકનો ચાલક મનીષ રાકેશજી ઠાકોર (રહે. જીંડવા) હોવાનું બહાર આવ્યું હતુ. ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લાલાભાઈ કરસનભાઈ રબારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ ઠાકોર વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલામાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો હતો. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.
આદિત્યાણા વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરી સામે આવેલી રાધે રાધે એન્ટરપ્રાઈઝના સ્થળે પોલીસે ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 23.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસ દરમિયાન, સ્થળ પરના એક ટેન્કમાંથી આશરે 12,000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 8,64,000 છે. આ ઉપરાંત, એક ટ્રકની ટાંકીમાંથી ભરેલું 350 લીટર પેટ્રોલિયમ પ્રવાહી પણ જપ્ત કરાયું હતું, જેની કિંમત રૂ. 25,200 આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા અન્ય મુદ્દામાલમાં રૂ. 10,00,000ની કિંમતનો એક ટ્રક, રૂ. 1,00,000ની રોયલ ઇન્ફિલ્ડ મોટરસાયકલ (નં. GJ-25-AG-9089), રૂ. 25,000નું ડિસ્પેન્સર મશીન, રૂ.1,50,000નો લોખંડનો સ્ટોરેજ ટાંકો, રૂ.13,500ની ઇલેક્ટ્રિક મોટર અને અંગઝડતીમાંથી મળેલા રૂ.1,41,820 રોકડાનો સમાવેશ થાય છે. વધુમાં, રૂ. 30,000ના છ મોબાઇલ ફોન, રૂ.10,000નું કેશ કાઉન્ટર મશીન, લોખંડના અને પ્લાસ્ટિકના બેરલ, પ્લાસ્ટિકના ટાંકા, ખાલી ડોલ, માપિયા, વિવિધ પાઈપો, હોસ પાઈપ, નળીઓ, બેરલની ડંકી, ચાર નાની ડાયરીઓ, નોટબુક અને વીજળીના બિલ સહિતનો સામાન પણ કબજે લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.23,80,420 થાય છે. આ કેસમાં કરશન એભાભાઈ ઓડેદરા, અરશી ભીમાભાઈ ઓડેદરા, કાંધલ રામદેવભાઈ કડછા, આશિષ રામજીભાઈ વરવાડીયા અને મશરી નાગાભાઈ ઓડેદરા સહિત કુલ છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરત મુળુભાઈ મોઢવાડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહીના સંગ્રહ અને વિતરણ અંગે ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવાહી ક્યાંથી લાવવામાં આવતું હતું અને ક્યાં વિતરણ કરવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા મોરબીના સાહિલ માજોઠીની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફે એક વીડિયો સંદેશ દ્વારા ચેતવણી આપી છે કે જો સાહિલનું નામ યુદ્ધ કેદીઓના ટ્રાન્સફર લિસ્ટમાં રશિયાને સોંપવામાં આવશે, તો તે ક્યારેય ભારત પરત ફરી શકશે નહીં અને તેના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. શું છે સમગ્ર મામલો?મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી વર્ષ 2024માં અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં અભ્યાસની સાથે તે પાર્ટ-ટાઈમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો. આ દરમિયાન ડ્રગ્સ ધરાવતા એક પાર્સલના કેસમાં રશિયન પોલીસે તેની ધરપકડ કરી હતી. સાહિલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી પાર્સલના સ્ત્રોત વિશે માહિતી આપી હોવા છતાં, રશિયન અદાલતે તેને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેલમાંથી યુદ્ધના મેદાન સુધીની સફરરશિયાની જેલમાં સજા કાપી રહેલા સાહિલને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા. તેને ટેકનિકલ કામ સોંપવાની ખાતરી આપી યુક્રેન બોર્ડર પર મોકલવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધમાં જોડાવાને બદલે સાહિલે યુક્રેન સરહદ પર આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતે આવેલા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. વકીલની ગંભીર ચેતવણીસાહિલના વકીલ દીપા જોસેફ તાજેતરમાં જ કિવ પહોંચ્યા હતા અને સાહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન બંને દેશો પકડાયેલા યુદ્ધ કેદીઓની અદલાબદલી કરતા હોય છે. જો યુક્રેન સાહિલનું નામ રશિયાને સોંપવામાં આવનારા કેદીઓના લિસ્ટમાં સામેલ કરશે, તો સ્થિતિ વણસી શકે છે. ચુક્રેનથી સીધો ભારત લાવોદીપા જોસેફે વધુમાં ઉમેર્યું કે સાહિલે અગાઉના વીડિયોમાં રશિયન આર્મી દ્વારા તેને કઈ રીતે અને કઈ શરતો પર યુદ્ધમાં મોકલવામાં આવ્યો તેની વિગતો જાહેર કરી દીધી છે. જો તે રશિયાના હાથમાં જશે, તો આ બાબત તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ભારત સરકાર વહેલી તકે દખલગીરી કરીને તેને સીધો યુક્રેનથી ભારત લાવવા પ્રયાસ કરે તે અનિવાર્ય છે. પરિવારની આશા ભારત સરકાર પરસાહિલનો યુક્રેનથી વીડિયો સામે આવ્યા બાદ તેની માતા હસીનાબેન અને પરિવારજનોએ તેને પરત લાવવા ગુજરાત અને ભારત સરકારમાં અનેક રજૂઆતો કરી છે. હાલ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, ત્યારે વકીલની આ તાજેતરની ચેતવણીએ પરિવારની ચિંતામાં વધારો કર્યો છે.
મહેસાણા અને બાયડના બે પરિવારો વચ્ચે એક એવા અનોખા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આધુનિક ભપકાને બદલે આધ્યાત્મિક અને વૈદિક પરંપરાની નવી મિસાલ પેશ કરી છે. મહેસાણાના તરુણકુમાર રાવલના પુત્ર ઉત્સવ અને બાયડના મેહુલકુમાર પાઠકની પુત્રી નેહલના લગ્ન રામ-સીતાના શુભ વિવાહની થીમ પર સંપન્ન થયા હતા. આ વિશિષ્ટ લગ્ન માટે મંડપ સ્થળને 'મિથિલાનગરી'નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જ્યાં આધુનિક ડીજે કે ગીતોને બદલે રામાયણના મધુર સૂર ગુંજી ઉઠ્યા હતા. લગ્નવિધિ બંધ હોલને બદલે પ્રકૃતિના સાનિધ્યમાં ખુલ્લા આકાશ નીચે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. હસ્તમેળાપ અને ફૂલહારના સમયે રામાયણ સિરિયલના લોકપ્રિય ગીત શ્રી રઘુવર કોમલ કમલનયન... ના ગાન સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રીય સંગીતના સુરે તમામ લગ્ન સંસ્કારો પૂર્ણ કરાયા બાદ, બ્રાહ્મણો દ્વારા વર-વધૂને સાક્ષાત્ લક્ષ્મીનારાયણ સ્વરૂપ માની તેમની ભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી. આ લગ્નમાં નારી શક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રગાન સાથે કન્યા નેહલને ‘નેહલ દેવી’ તરીકે સંબોધવામાં આવી હતી. વિદાય સમયે પણ રાજા-મહારાજા જેવો ઠાઠ જોવા મળ્યો હતો અને વર-વધૂને છત્ર સાથે વિદાય અપાઈ હતી. વરની માતા હેમાંગીનીબેન રાવલે આ પ્રસંગને યાદગાર ગણાવતા કહ્યું કે, આવા આયોજનોથી સામાજિક જીવનમાં આધ્યાત્મિક સંસ્કારોનું સંવર્ધન થાય છે. તેમણે અન્ય પરિવારોને પણ લગ્નને માત્ર સામાજિક વ્યવહાર નહીં પણ સંસ્કારપૂર્ણ ઉત્સવ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

24 C