વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે 130 જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા, જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસીભરી બનશે. મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણ શરૂ થતાં જ સવારથી ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. સત્તાવાર આંકડા મુજબ, યુવા ચહેરાઓથી લઈને અનુભવી રાજકીય આગેવાનો સુધીના 130 જેટલા ઉમેદવારોએ પ્રથમ દિવસે ફોર્મ ઉપાડ્યા હતા. વાપી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી, દરેક રાજકીય પક્ષ માટે મજબૂત પેનલ ઊભી કરવી પડકારજનક રહેશે. રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસે ચૂંટણી રેસમાં પહેલ કરીને એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બીજી તરફ, ભાજપ અને આમ આદમી પાર્ટી હાલ ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યાદી જાહેર કરે તેવી શક્યતા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મધ્યમ વર્ગના પ્રશ્નો આ વખતે ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે. પ્રથમ દિવસે જ ફોર્મ લેવા ઉમટેલી ભીડે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે વાપીની ચૂંટણી એક જબરદસ્ત રાજકીય મુકાબલો સાબિત થશે. દરેક પક્ષ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે, જેમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.
છોટા ઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં સોમવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. મહેનત મજૂરી કરીને ભેગી કરેલી જીવનભરની મૂડી નષ્ટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બંધ મકાનમાં આગ લાગીમળતી માહિતી મુજબ, ફતેપુરા વિસ્તારમાં રહેતા મંગીબેન ધનજીભાઈ તડવીના પરિવારના સભ્યો જ્યારે પડોશમાં ગયા હતા, તે દરમિયાન બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ફાયર વિભાગની કામગીરીઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પરિવારજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ઘરમાં રહેલી અનાજની ગુણીઓ, કપડાં અને અન્ય ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. પરિવારમાં આક્રંદઆખી જિંદગીની મહેનતથી વસાવેલો સામાન નજર સામે જ નાશ પામતા પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલા 'ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' (UCC) બિલના વિરોધમાં પાટણ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ જણાવ્યું છે કે, આ કાયદો ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર) અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 44 (સમાન નાગરિક સંહિતા) વિરુદ્ધ છે. તેમની રજૂઆત મુજબ, આ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને વ્યક્તિગત અધિકારો પર સીધી અસર કરે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બંધારણની કલમ 25 દરેક નાગરિકને પોતાનો ધર્મ માનવાની અને તે મુજબ આચરણ કરવાની સ્વતંત્રતા આપે છે. જોકે, આ નવો કાયદો ધાર્મિક પર્સનલ લોમાં દખલગીરી કરીને આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, UCC બિલમાં અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય કેટલાક સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે. આ જોગવાઈ બંધારણની કલમ 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. સમિતિએ આક્ષેપ કર્યો છે કે, આ કાયદો માત્ર એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવીને લાવવામાં આવ્યો છે, જે સામાજિક અસમાનતા પેદા કરી શકે છે. બિલમાં સમાવિષ્ટ લગ્ન, છૂટાછેડા અને વારસા હક્ક સંબંધિત જોગવાઈઓ મુસ્લિમ શરિયત કાયદાની વિરુદ્ધ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, લિવ-ઈન રિલેશનશિપના ફરજિયાત રજીસ્ટ્રેશન જેવી જોગવાઈઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેને સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોથી વિપરીત ગણાવવામાં આવી છે. પાટણના કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આ બાબતે ફેરવિચારણા કરવા અને બંધારણીય જોગવાઈઓને ધ્યાને રાખીને આ બિલ પરત ખેંચવા અથવા તેમાં જરૂરી સુધારા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સમિતિના વહીવટી સભ્યો, કાયદાકીય સલાહકારો અને મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના ચૂંટાયેલા નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમભાઈ કુરેશીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કમિશનરે જી.પી.એમ.સી. એક્ટ 1949 ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અબ્બાસ કુરેશીનું કોર્પોરેટર પદ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અબ્બાસ કુરેશી મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં કોઈ પણ પૂર્વ મંજૂરી વગર સતત ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાના મૂળમાં અબ્બાસ કુરેશીનો ગંભીર ગુનાહિત ઈતિહાસ અને હાલનો જેલવાસ જવાબદાર છે. અગાઉ જૂનાગઢ પોલીસે કુરેશી ગેંગ વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણ ધારા (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરી હતી. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ એક વિરલ કિસ્સો છે જેમાં સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ આવા કડક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોય. અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો કુરેશી સહિતના શખ્સો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને અન્ય અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. અબ્બાસ કુરેશી હાલમાં સાબરમતી જેલમાં બંધ હોવાથી તેઓ છેલ્લા લાંબા સમયથી કોર્પોરેશનની કામગીરીમાં હાજરી આપી શક્યા ન હતા. મ્યુનિસિપલ કમિશનરના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અબ્બાસ કુરેશી સતત ત્રણ મહિના સુધી કોર્પોરેશનની સામાન્ય સભાઓમાં ગેરહાજર રહ્યા હતા. કાયદાકીય જોગવાઈ મુજબ, જો કોઈ ચૂંટાયેલા સભ્ય વગર મંજૂરીએ સતત બેઠકોમાં ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. સેક્રેટરી શાખાના સત્તાવાર રિપોર્ટના આધારે કમિશનરે આ આખરી કાર્યવાહી કરી છે. કુરેશી ગેંગના ગુનાહિત નેટવર્કની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ડિસેમ્બર 2025 માં નોંધાયેલા 305 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં આ ગેંગની સંડોવણી જોવા મળી હતી. આ નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની રકમ આંગડિયા મારફતે ભાવનગર મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવીને અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ શોધી કાઢ્યા હતા. આર્થિક ગુનાઓ ઉપરાંત આ ટોળકી સામે હત્યાની કોશિશ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર કેસો પણ નોંધાયેલા છે. અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા હવે વોર્ડ નંબર 3 ની બેઠક સત્તાવાર રીતે ખાલી પડી છે. કમિશનરના હુકમ મુજબ 20 માર્ચ 2026 થી આ બેઠક ખાલી ગણવામાં આવશે, જેની જાણ રાજ્ય ચૂંટણી પંચને કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હોવા છતાં, કાયદાના પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. હવે આગામી સમયમાં આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. વહીવટી તંત્રના આ કડક નિર્ણયથી અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકશાહીના માળખામાં પદ અને સત્તાની સાથે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જૂનાગઢના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે.
અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા હજુ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ પક્ષે શહેરમાં રાત્રીના સમયે ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આગામી સમયમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ડોર-ટુ-ડોર પ્રચારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિકાસના મુદ્દાઓ તેમજ પક્ષની નીતિઓ અંગે મતદારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરમાં આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાની સંભાવના છે. ત્રણેય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ અને બેદરકારીનો મોટો વિવાદ સામે આવ્યો છે. છાત્રાલયની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ ABVPના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા અપાતી સુવિધાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતામાં તેઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. સડેલું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપવિદ્યાર્થિનીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. રસોડામાં ઘણીવાર સડેલા ડુંગળી અને બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવું આ ભોજન આરોગવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કે દેખરેખ રાખવામાં આવતી નથી. અસામાજિક તત્વોનો ત્રાસસુવિધાઓની સાથે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, છાત્રાલયની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણ અસુરક્ષિત હોવાથી વિદ્યાર્થિનીઓમાં ફાળ પડી છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રૂમોની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને અલ્ટીમેટમABVP જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ પહોંચેલી વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિની દીપિકા જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકીઆંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 10 દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર બાબતે કેટલી ઝડપે તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે.
ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. મોરબીની પેપર મિલો માટે US અને GCC (ગલ્ફ દેશો)થી આયાત કરવામાં આવેલા વેસ્ટ પેપરના અંદાજે 800થી વધુ કન્ટેનરો હાલ વિશ્વના વિવિધ દરિયાઈ બંદરો પર ફસાયેલા છે. કાચા માલની આ તંગીને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી છે. 75માંથી 54 મિલ કાર્યરત છે અને ઉત્પાદનમાં 60 ટકા જેટલું જ થઈ રહ્યું છે. ઉત્પાદનમાં 40%નો ઘટાડો મોરબી પેપર મિલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિસ્તારની કુલ 75 પેપર મિલોમાંથી હાલ માત્ર 54 મિલો જ કાર્યરત છે. ચાલુ રહેલી મિલો પણ તેમની 100% ક્ષમતા સામે માત્ર 60% ઉત્પાદન કરી રહી છે. માગના અભાવે અને કાચા માલની અછતને લીધે સરેરાશ મહિનામાં માત્ર 10 દિવસ જ કામકાજ ચાલી રહ્યું છે. ખર્ચમાં તોતિંગ વધારો અને માગમાં ઘટાડોયુદ્ધની સ્થિતિને લીધે પેપર ઉદ્યોગમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ, શિપિંગ લાઈનો દ્વારા કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મોરબીના અંદાજે 600 જેટલા સિરામિક એકમો અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલ (ક્રાફ્ટ પેપર)ની સ્થાનિક માગ પણ તળિયે પહોંચી ગઈ છે. ઉદ્યોગકારો માટે 'બેવડો માર' શ્રમિકોનો ખર્ચ: ઉત્પાદન ઓછું હોવા છતાં કુશળ શ્રમિકોને સાચવી રાખવા માટે ઉદ્યોગકારોએ પગાર સહિતના દૈનિક ખર્ચાઓ ભોગવવા પડી રહ્યા છે. બેંક લોનનું ભારણ: મોટાભાગના એકમો બેંક લોન પર કાર્યરત છે. વેપાર ઠપ્પ હોવા છતાં વ્યાજ અને હપ્તાની ચૂકવણી ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે. જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર ભાડા (ફ્રેઈટ રેટ્સ-Freight rates)માં ઘટાડો નહીં આવે, તો મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મોટા દેવા હેઠળ દબાઈ જાય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે.
પુણા નદીમાં કૂદેલા યુવકનો જીવ બચ્યો:ફાયર વિભાગે 20 મિનિટમાં રેસ્ક્યૂ કરી જીવનદાન આપ્યું
નવસારી જિલ્લાના આમડપોર ગામ નજીક પુણા નદીમાં રવિવારે રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે, નદી કિનારે માછીમારી કરી રહેલા શખ્સની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આમડપોર ગામનો રહેવાસી 30 વર્ષીય યુવક પુણા નદીના પુલ પર પહોંચ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે નદી કિનારે ડાભેલ ગામના શાહિદ સલીમ મનસૂર માછલી પકડી રહ્યા હતા. તેમણે યુવકને નદીમાં કૂદતો જોતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની 6 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિનો સમય, કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવા છતાં, જવાનોએ વિલંબ કર્યા વગર નદીમાં ઉતરી શોધખોળ શરૂ કરી. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જવાનોએ યુવકને શોધી કાઢી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ યુવક સુરક્ષિત છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, અને સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ' જેવા અભિયાનો થકી સીધો જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવેલો આ મેનિફેસ્ટો માત્ર રાજકીય દસ્તાવેજ નથી,પરંતુ સુરતના નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો સુરતના દરેક વર્ગ મહિલાઓ,યુવાનો,વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના કાર્યકરોએ સુરતના તમામ મહાનગરોમાં ઘરે-ઘરે જઈને શિક્ષણ,સ્વાસ્થ્ય,રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા.રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકોની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે,જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.આ દરમિયાન મળેલી ફરિયાદો અને ભ્રષ્ટાચારના પુરાવાઓના આધારે ભાજપ સરકાર સામે એક ‘ચાર્જશીટ’ પણ તૈયાર કરવામાં આવી છે. સુરત શહેર માટેના કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા 1.મહિલા સશક્તિકરણ અને સન્માન મિલકત વેરામાં રાહત: મહિલાઓના નામે રજિસ્ટ્રર મિલકતમાં 50 % ટેક્સ માફીવાહન ટેક્સમાં છૂટ:મહિલાઓના નામે રહેલા વાહનો પર ટેક્સમાં વિશેષ છૂટછાટક્રિચ (પારણા ઘર)ની સુવિધા:કામકાજી મહિલાઓના બાળકો માટે દરેક વોર્ડમાં પારણા ઘરવિધવા સહાય: વિધવા બહેનો માટે આર્થિક મદદ અને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ યોજનાપિંક ફેસિલિટીઝ: શહેરના દરેક જાહેર સ્થળે પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટની સુવિધા 2.આરોગ્ય અને વડીલ વંદના વરિષ્ઠ નાગરિકો માટે સુવિધા:સિનિયર સિટિઝન કાર્ડ હેઠળ ફ્રી હેલ્થ ચેક-અપ,ડાયાબિટીસ અને બીપીની દવાઓ મફતમલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ:દરેક ઝોનમાં એક નવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલસ્મીમેર (SMIMER) નું આધુનિકીકરણ:સ્મીમેર હોસ્પિટલની સેવાઓનો વ્યાપ વધારવો24 કલાક હેલ્થ સેન્ટર:દરેક વોર્ડમાં 24 કલાક કાર્યરત હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધા 3.યુવા રોજગાર અને શિક્ષણ કાયમી ભરતી: મહાનગરપાલિકામાં 10,000થી વધુ જગ્યાઓ પર કાયમી ભરતીઆઉટસોર્સિંગનો અંત: કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી સીધી નોકરીડિજિટલ શિક્ષણ: દરેક ઝોનમાં હાઈ-ટેક ડિજિટલ લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટર 4.પર્યાવરણ અને તાપી શુદ્ધિકરણ તાપી નદી:તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ ફાળવણીગ્રીન કવર:બગીચાઓ અને ગ્રીન કવરમાં વાર્ષિક 10% નો વધારોપાણી અને ડ્રેનેજ:દરેક ઘરને 24 કલાક શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી, ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ 5.ટ્રાફિક અને માળખાગત સુવિધાઓખાડામુક્ત રસ્તા: રસ્તાઓને ખાડામુક્ત, ‘જનતા ઓડિટ’ કરવાની પદ્ધતિ દાખલ કરાશેપરિવહન: BRTS અને સિટી બસ સેવાને વધુ સુદ્રઢ બનાવી ઈલેક્ટ્રિક બસોથી સજ્જસ્માર્ટ ટ્રાફિક: નવા ફ્લાયઓવર,બહુમાળી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા હલ કરાશે 6.સામાજિક કલ્યાણ અને સુરક્ષાકોંગ્રેસે મેનિફેસ્ટોમાં સામાજિક સમરસતા અને સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. નવરાત્રિ, દિવાળી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી માટે શહેરમાં ‘ફેસ્ટિવલ પાર્ક’ બનાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, રખડતા પશુઓની સારવાર માટે આધુનિક પશુ હોસ્પિટલ અને શ્રમિકો, નાના ફેરિયાઓ માટે સુરક્ષિત ‘વેન્ડિંગ ઝોન’ બનાવવાની વાત કહી છે. સુરતને સાયબર ગુનાઓથી બચાવવા માટે તેને ‘સાયબર ફ્રી સિટી’ બનાવવાના પગલાં પણ આ મેનિફેસ્ટોનો હિસ્સો છે. મહિલા સશક્તિકરણથી લઈને યુવાનો માટે રોજગારીનું વચનપૂર્વ સાંસદ યમી યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસે સુરત શહેર માટે મેનિફેસ્ટો આપ્યો છે અને કોંગ્રેસ શું કરશે, તો સૌથી પહેલા અમે જઈને લોકોને પૂછીને આ મેનિફેસ્ટો બનાવ્યો છે. 'જનમંચ' કરીને અમે એક સુવિધા આપી હતી કે જેમને જેટલા પ્રશ્નો હોય તે અમને પૂછી શકે છે અને તે પ્રશ્નોમાંથી અને નાગરિકોને શું જોઈએ છે આ શહેર માટે, તે પૂછીને અમે આ મેનિફેસ્ટો બનાવ્યો છે. ખાસ કરીને અમે મહિલાલક્ષી બનાવ્યો છે કે મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે થાય, કેવી રીતે થઈ શકે. તેમને ટેક્સમાં ક્યાં બેનિફિટ મળી શકે છે. તેમને ઘોડિયાઘર (Crche) કેવી રીતે મળી શકે છે જેને 'ઘોડિયાઘર' કહીએ છીએ જ્યારે તેઓ કામ પર જાય. બીજું અમે સિનિયર સિટિઝન્સ માટે લીધું છે કે સિનિયર સિટિઝન્સને શું જોઈએ, દવા જોઈએ, સુવિધા જોઈએ, હોસ્પિટલ જવા માટે નિઃશુલ્ક સુવિધા જોઈએ, તો તેમની વાત કરી છે અને મેન્ટેનન્સની વાત કરી છે.ત્રીજું અમે લીધું છે કે યુવાઓમાં બેરોજગારી બહુ છે, તો તેમને રોજગાર કેવી રીતે મળવો જોઈએ. કઈ રીતે અમે યુવાઓને સશક્ત કરી શકીએ, તેમને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડી શકીએ, તેમને શિક્ષણ આપી શકીએ. તાપી નદી શુદ્ધિકરણનું કોંગ્રેસનું કમિટમેન્ટ અને ખાસ કરીને પર્યાવરણ, જે તાપી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, તો આ પર્યાવરણનો મુદ્દો અમે લીધો છે કે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી હોવું જોઈએ, ક્લીન વોટર હોવું જોઈએ, પીવાનું પાણી સાફ હોવું જોઈએ, તો તેની વાત અમે મેનિફેસ્ટોમાં કરી છે, અમે લઈને આવ્યા છીએ કે 'વી વિલ ગીવ પ્રોપર ક્લીન વોટર'. અને સૌથી મહત્વનું સામાજિક ન્યાયની વાત કરી છે કે સોસાયટીના તમામ લોકોને, તમામ સેક્શનને એક સમાન ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી સોશિયલ વેલફેર અને સોશિયલ જસ્ટિસ માટે છે. તો આ અમે લોકોને પૂછીને, તેમના જે પ્રશ્નો છે તેને લીધા છે અને તેને અમારા મેનિફેસ્ટોમાં રાખ્યા છે કે આ પ્રશ્નો લઈને અમે તમારા પ્રશ્નોનું સમાધાન લાવીશું. તમે અમને ચૂંટશો તો અમે આ બધા કામ તમારા કરીશું, તમારું શહેર છે અને તમારા માટે અમારે કામ કરવાનું છે, તો આ અમારો મેનિફેસ્ટો છે.
કચ્છના મુખ્ય શહેર ભુજમાં આવેલી આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ મળતા જ કચેરીમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ આજે સવારે પશ્ચિમ કચ્છની મુખ્ય આરટીઓ કચેરીને મળ્યો હતો. ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકી મળ્યાની જાણ થતા જ પશ્ચિમ કચ્છ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમો દ્વારા આરટીઓ કચેરી પરિસરમાં સઘન ચેકિંગ અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા 5 માર્ચના રોજ ભુજની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીભૂમિ પોરબંદરમાં સોમવારનો દિવસ અત્યંત રક્તરંજિત સાબિત થયો છે. વહેલી સવારે એરપોર્ટ નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ, ખાપટ-કોલીખડા રોડ પર વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાએ પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 1ના વિદ્યાર્થીની રિક્ષા પલટી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. પરીક્ષા આપવા જતો 'ધ્રુવ' અકસ્માતનો ભોગ બન્યોપ્રાપ્ત વિગતો અનુસાર, ખાપટ-કોલીખડા રોડ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી સ્કૂલ રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. રિક્ષામાં 2 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી જ્યુબિલી ખાનગી શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય ધ્રુવનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સોમવારે પરીક્ષા હોવાથી ધ્રુવ ઉત્સાહ સાથે શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ આ અકસ્માતે તેના પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રખડતા પશુને બચાવવા જતાં સર્જાયો અકસ્માતપ્રાથમિક તપાસ મુજબ, રિક્ષાચાલક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક પશુ આડે આવ્યું હતું. રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં રિક્ષાચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. શહેરમાં એક જ દિવસમાં 5 લોકોના મોતપોરબંદરમાં સોમવારે અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે: એરપોર્ટ નજીક અકસ્માત: વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 4 યુવાનોના મોત થયા હતા. ખાપટ રોડ અકસ્માત: પશુ આડે આવતા રિક્ષા પલટી જતાં 7 વર્ષના માસૂમ ધ્રુવનું મોત થયું. રખડતાં ઢોર મુદ્દે લોકોમાં રોષરખડતા પશુઓના ત્રાસને કારણે માસૂમ બાળકે જીવ ગુમાવવો પડતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં પશુઓના ત્રાસનો ઉકેલ ન આવતા આજે એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
CCE ભરતીમાં CBRT પદ્ધતિ સામે ઉમેદવારોનો વિરોધ:નોર્મલાઇઝેશનથી અન્યાયના આક્ષેપ સાથે OMR પદ્ધતિની માગ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતી પ્રક્રિયામાં CBRT (Computer Based Response Test) પદ્ધતિ સામે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને MCQ-OMR પદ્ધતિથી પરીક્ષા લેવાની માગ કરી છે. ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષા અને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલાના કારણે થયેલા અન્યાયને કારણે આ વિરોધ ઉઠ્યો છે. મંડળ દ્વારા તાજેતરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B (જાહેરાત ક્રમાંક: 37/202526) ની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતના મુદ્દા નંબર-21 મુજબ, તબક્કા-1 ની પ્રાથમિક પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, અગાઉની CCE (જા.ક્ર. 212/2023-24) અને વનરક્ષકની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિને કારણે અનેક વિવાદો સર્જાયા હતા. ભૂતકાળમાં 71 જેટલી અલગ-અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા લાગુ પડતા ઉમેદવારોના ગુણમાં 2 થી 37 ગુણ સુધીનો તફાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 300 થી વધુ પ્રશ્નોના જવાબ ખોટા હોવાના વિવાદોને કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પરીક્ષા લેનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગણી થઈ હતી. ઉમેદવારોએ રજૂઆત કરી છે કે, CBRT પદ્ધતિ નિષ્ફળ નીવડી છે, જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં MCQ-OMR પદ્ધતિ વધુ પારદર્શક અને ઝડપી સાબિત થઈ હતી. વર્તમાન ભરતી પ્રક્રિયામાં પણ CBRT પદ્ધતિનો ઉલ્લેખ હોવાથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આગામી CCE પરીક્ષા ઓફલાઇન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેથી મહેનતુ ઉમેદવારોને અન્યાય ન થાય અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે જનતા માટે પોતાનું 'કમિટમેન્ટ' (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો હતો, સાથે ભાજપમાં મોટું ગાબડું પાડતા વડવા બ વોર્ડના પૂર્વ નગરસેવિકાને પક્ષમાં સામેલ કર્યા છે, શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જનતાને પાયાની સુવિધાઓ મળી નથી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો નીચે મુજબના કાર્યો કરવાની ખાતરી આપી છે જેમાં શહેરમાં હાલ માત્ર 6 વેન્ડર ઝોન છે, જેને વધારીને 120 વેન્ડર ઝોન કરવામાં આવશે. જેનાથી 5000 થી વધુ લારી-ગલ્લા ધારકોને રોજગારી અને ન્યાય મળશે, શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં 24 કલાક કાર્યરત મલ્ટી-લેવલ હોસ્પિટલ બનાવવામાં આવશે, ઉપરાંત, દરેક વોર્ડમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે, ભાવનગરની જનતાને સવાર-સાંજ બંને ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું સહિત અલગ અલગ 17 જેટલા કમિટમેન્ટ આપ્યા હતા, ભાજપના પૂર્વ નગરસેવિકા સેજલબેનનો કોંગ્રેસમાં પ્રવેશ આ પત્રકાર પરિષદ વેળા એ ભાજપના પૂર્વ નગરસેવિકા વડવા 'બ' વોર્ડ ના સેજલબેન મહેશભાઈ ગોહેલ એ કોંગ્રેસ પ્રવેશનો ખેસ ધારણ કર્યો હતો, તેમણે ભાજપ છોડવા પાછળ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી, હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો, જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું ? તેમણે વધુમાં જણાવ્યું કે તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો. હજી ઘણા ભાજપના નેતાઓ સંપર્કમાં કોંગ્રેસ પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે ભાજપના હજી ઘણા કોર્પોરેટરો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં વધુ 'તોડફોડ' જોવા મળી શકે છે. પબ્લિક વચ્ચે જવાની રણનીતિ અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, જે યોગ્ય સમયે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આક્રમક મૂડ ધારણ કર્યો છે એક તરફ મેનિફેસ્ટો દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના નારાજ નેતાઓને પક્ષમાં લાવીને શાસક પક્ષને મજબૂત ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.
પંચમહાલ LCB-SOGએ પ્રોહિબિશનના 2 વોન્ટેડ આરોપી ઝડપ્યા:અલગ-અલગ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પંચમહાલ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પંચમહાલ LCB અને SOG પોલીસે અલગ-અલગ દરોડા પાડી ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ગોધરા LCBના પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દિગ્પાલસિંહ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તેમણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જીગરસિંહ ઉર્ફે જીગેશ ઉર્ફે જીગો ગુલાબસિંહ રાઠોડને પરવડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. જીગરસિંહ રાઠોડ રામપુર જોડકા (મહેલોલ), તા. ગોધરાનો રહેવાસી છે. બીજી તરફ, પંચમહાલ SOG ગોધરાના પી.આઈ. એમ.એ. વાઘેલાની ટીમે પણ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. SOGની ટીમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રાહુલ ટેટાભાઈ બારીયાને ઘોઘંબા તાલુકાની કાંટુ ચોકડી પાસેથી દબોચી લીધો હતો. રાહુલ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વાવ લવારીયાનો રહેવાસી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહુલ બારીયાને દામવાવ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ સક્રિય કામગીરીથી જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ઘટના બાદ પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા અનુસાર, અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ RTO કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર, કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરિસરની બહાર મોકલી દેવાયા હતા. હાલમાં, પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો RTO કચેરી ખાતે હાજર છે. પોલીસ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા ઈ-મેલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે. RTO કચેરી અચાનક ખાલી કરાવી દેવાના કારણે કામકાજ અર્થે આવેલા અનેક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા નાગધરા ગામમાં લાંબા સમયથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની સતર્કતાને કારણે ગતરાત્રિએ આશરે સાડા ત્રણ વર્ષનો દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગધરા ગામના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાઈ રહ્યો હતો. દીપડાએ અલગ-અલગ જગ્યાએ મરઘાનું મારણ કરવાનું શરૂ કરતા પશુપાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગ્રામજનોએ ગામના સરપંચને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. સરપંચની રજૂઆત બાદ નવસારી સામાજિક વન વિભાગની સુપા રેન્જ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગામમાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગતરાત્રિ દરમિયાન, નાગધરા ગામના રહેવાસી કાન્તુ પટેલના ઘરના વાડામાં ખોરાકની શોધમાં આવેલો દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલો દીપડો આશરે સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાયાની જાણ થતા જ સુપા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર અમિષા પટેલ તથા વન રક્ષક નવલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. હાલમાં સામાજિક વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાશે.
ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હૈદરાબાદ-લખનઉ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ પેરોલફ્લો સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચિત્રા-સીદસર રોડના સતનામ ચોક નજીક રેઈડ કરી હતી. જ્યાંથી ચિત્રાવાડી ફુલસર ગામના રહેવાસી રાકેશભાઈ ખીમજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો.મોબાઈલ ફોન મારફતે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચ પર “Allpanel777 now” આઈડી દ્વારા રનફેરના સોદાઓ કરી અન્ય લોકોને આઈડી આપી રૂપિયા લઈ જુગાર રમાડતો હતો. પોલીસે બે સામે ફરિયાદ નોંધીપોલીસે તેના પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.શખ્સની વધુ પૂછપરછમાં આ આઈડી વરતેજ ગામના દરબારગઢ વિસ્તારના નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી. ગોહીલ પાસેથી મેળવેલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પેરોલફ્લો સ્ક્વોર્ડે શખ્સને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપ્યો હતો. જે મામલે પોલીસે રાકેશ બારૈયા અને નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી ગોહીલ સામે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12(A) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકામાં વરસાદની સંભાવના છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઅત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
Rahul Gandhi on Gas Crisis: દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન મળવાને કારણે વિરોધ પક્ષો સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પીએમ મોદીના 'કોવિડ જેવી વ્યૂહનીતિ'વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.'
જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ બેઠક દરમિયાન તેમણે ચૂંટણી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલના રોજ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે ખાતરી આપી હતી કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓ 11 એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તો તેના માટે 15 એપ્રિલની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચાર કાર્ય વેગ પકડશે. જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી જંગ ખૂબ જ વ્યાપક સ્તરે ખેલાવાનો છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ અને બાંટવા નગરપાલિકાના 1 વોર્ડ માટે પણ ચૂંટણી યોજાવાની છે. લોકશાહીના આ પર્વમાં મતદાન માટે 26 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તે દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામો જાહેર થશે. ચૂંટણી વ્યવસ્થાપન માટે કલેક્ટર દ્વારા અધિકારીઓની મહત્વની નિમણૂંકો કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 9 આર.ઓ. એટલે કે રિટર્નિંગ ઓફિસર અને તેમને સહયોગ આપવા માટે 18 એ.આર.ઓ. કાર્યરત રહેશે. આ સાથે જ વહીવટી કામગીરીને સરળ બનાવવા માટે 9 નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ કુલ 7,71,029 મતદારો નોંધાયેલા છે, જ્યારે કેશોદ નગરપાલિકામાં 53,495 અને બાંટવા નગરપાલિકાની પેટાચૂંટણી માટે 1,262 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન મથકો અને ઈવીએમ મશીનોની વ્યવસ્થા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 950 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને તેના માટે 2,138 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તેવી જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓ માટે 60 મતદાન મથકોની વ્યવસ્થા છે જ્યાં 81 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. તંત્ર દ્વારા દરેક મથક પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ચૂંટણીમાં થતા નાણાકીય ખર્ચ પર અંકુશ રાખવા માટે પણ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ખર્ચની આ મર્યાદા 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના ઉમેદવારો 2.25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આચારસંહિતાનો ભંગ ન થાય. અંતમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને યુવા અને નવા મતદારોને અપીલ કરી હતી કે તેઓ અત્યારથી જ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન અને ઓનલાઇન પોર્ટલની સુવિધા પણ આપવામાં આવી છે જેના દ્વારા મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સાથે મળીને પણ સુરક્ષાનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણુ લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોચ્યો છે. આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. કંચન પતિ અમિત અને બે દીકરી સાથે રહે છે. કંચનના પ્રથમ લગ્ન દીપક મકવાણા સાથે થયા હતાં, જેમાં છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ 2007માં તેણે અમિત સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પત્નીની વાત સાંભણી પતિ મારવા લાગ્યોગઈકાલે કંચન ઘરે હાજર હતી, ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા માટે આવ્યાં હતા. કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી, ત્યારે ભાનુબેને જણાવ્યુ કે, હું અમિત પાસે રૂપિયા માગુ છું. ભાનુબેનની વાત સાંભણીને કંચને જવાબ આપ્યો કે, તમારા પૈસા છે તો માંગી લો. કંચનની વાત સાંભણીને અમિત સાંભણી ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. કંચને ફોઈનું ઉપરાણુ લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો હતો. મહિલા સારવાર હેઠળ, વીડિયો પણ સામે આવ્યોઅમિતે તરત જ મેટલનુ શો-પીસ હાથમાં લઈને કંચનના માથામાં મારી દીધુ હતું. બાદમાં બેટથી મારવાનું શરૂ કરી દીધુ હતું. કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. કંચને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાણીપ પોલીસે આ મામલે અમિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કંચનને અમિત માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત નિપજ્યાં છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 'મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે'ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખીરુમાંથી ઢોસા બનાવીને ખાધા તો મારા દીકરા, પુત્રવધુ, 2 પૌત્રીને ઊલટી થવા લાગી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા 3 મહિનાની બાળકીનું મોત થયું હતું. જે બાદ 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી છે. 'અમે તપાસ કરી રહ્યા છીએ'- AMCઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
ગૌમાંસ કેસના બાતમીદાર પર હુમલો:દ્વારકાના રૂપેણબંદરમાં પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં ગૌમાંસના કેસમાં પોલીસને માહિતી આપનાર 24 વર્ષીય યુવક પર પાંચ શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રૂપેણબંદરના છપરાબજારમાં રહેતા જેનુલ ઇશાભાઈ લુચાણીએ અગાઉ ગૌમાંસના એક કેસમાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાબતને લઈને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. આ ઘટના 5 એપ્રિલ, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે બની હતી. જેનુલ દતારી ચોક ખાતે પ્રાથમિક શાળા નજીક હાજર હતો, ત્યારે પાંચ શખ્સોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. હુમલાખોરોમાં હાજી સિદીક ભેસલીયા, જાવીદ જાકુબ ઇસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલા દરમિયાન, જાવીદ ઇસબાણીએ સાહેદના માથામાં છરીનો ઘા ઝીંક્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ દરમિયાન આરોપીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના આદેશનો પણ ભંગ કર્યો હતો. ઘટના અંગે જેનુલ લુચાણીની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ કેસની તપાસ પીએસઆઈ નરેન્દ્રસિંહ સુરુભા ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે, જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી મળેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. રાજકોટ શહેર માટે કોંગ્રેસના મુખ્ય કમિટમેન્ટ્સ (1) નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજ માધાપર, મણહરપુર-1, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું. (2) ઘરવેરો અને આવાસ 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં 50% સુધી રાહત આપીશું. 'પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન'ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ. (3) પાણી વ્યવસ્થાપન 15 મિનિટના પાણી વિતરણને વધારી 45 મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા વોટર ટાસ્ક ફોર્સ બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું. (4) ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરીશું. પાર્કિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું. (5) સિટી બસ સેવા બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું. (6) શિક્ષણ દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું. (7) રમતગમત ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું. દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે ટોડલર ઝોન હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું. (8) રિઝર્વ પ્લોટ SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું. (9) મહિલા વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને 50% પ્રાધાન્ય આપીશું. (10) આરોગ્ય સેવાઓ દરેક વોર્ડ દીઠ 24/7 આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું. સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું. (11) પર્યાવરણ અને AQI શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું. આ ઉપરાંત શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અમારો આ મેનિફેસ્ટો માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.
વડોદરા શહેરમાં એક મહિલાએ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી પતિ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી.કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક મહિલાના નિવાસ સ્થાને પહોંચી હતી અને કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.જેના કારણે પતિએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. 'બાળકોની સ્કૂલ વાનની ફી પતિ ભરતા નથી'કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે,તેના લગ્ન સામાજિક રીત-રિવાજ મુજબ આશરે સાત વર્ષ પહેલાં થયા હતા, તે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેને બે સંતાનો છે. પતિ છૂટક મજૂરી કરે છે,પરંતુ છેલ્લા એક વર્ષથી તે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.છેલ્લા બે મહિનાથી બાળકોની સ્કૂલ વાનની ફી બાકી હોવા છતાં પતિ ફી ભરવા તૈયાર નથી અને બાળકોને ભણવા મોકલવા અંગે પણ નિરસતા દર્શાવે છે. 'શંકા કરીને નોકરી છોડવા મજબૂર કરે છે'મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં આર્થિક તંગી છે અને બે દિવસથી અનાજ પણ નથી.તાજેતરમાં જેઠના અવસાનને એક મહિનો થયો છે,જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.પતિ વ્યસન કરીને ઘરે આવી અપશબ્દો બોલે છે,મારઝૂડ કરે છે અને શંકા રાખી નોકરી પણ છોડી દેવા મજબૂર કરી છે.સાથે જ પિયર જવા માટે ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. અભયમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યુંઆ સમગ્ર મામલે અભયમ ટીમે પતિને કાયદાકીય માર્ગદર્શન આપી પત્ની અને બાળકો પ્રત્યે હિંસા ન કરવા કડક ચેતવણી આપી હતી.આર્થિક સંકટ હોવા છતાં પરિવારજનો પર અત્યાચાર કરવો યોગ્ય નથી અને બાળકોના ભણતર પર તેની અસર ન થવી જોઈએ તે બાબતે સમજાવવામાં આવ્યું હતું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સાથે સમાધાન કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના પુનરાવર્તિત થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
આજથી ધોરણ 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જે આગામી 11 એપ્રિલના રોજ પૂર્ણ થવાની છે. ત્યારે પરીક્ષાના પહેલા દિવસે જ નવા વાડજ વિસ્તારમાં આવેલી શાળામાં વિવાદ સર્જાયો છે. સૌરભ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. 20 કરતા વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી ન હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.ફી ક્યારે ભરશો તેની બાહેંધરી વાલીઓ પાસેથી લીધા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. જો કે સ્કૂલે લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે કોઈ વિદ્યાર્થીને બહાર ઉભા રાખવામાં આવ્યા નથી. મારી દીકરીને પરીક્ષા આપવાની ના પાડી:વાલીવાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીંયા શાળામાં અભ્યાસ કરે છે. સવારે 7.30 વાગ્યે મારી દીકરીના બે ફોન આવે છે. એક ફોન ઉપાડી ન શકી જે બાદ બીજો કોલ ઉપાડ્યો હતો. મારી દીકરીએ એવું કહ્યું હતું કે મને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી છે.ફી અત્યારે ભરશો તો જ પરીક્ષા આપવા મળશે તેવું કહેવામાં આવ્યું હતું. છેલ્લા સેમેસ્ટરની 6 હજાર રૂપિયા ફી બાકી છે,બાકી બધી ફી ભરી દીધી છે.માત્ર મારી દીકરી જ નહીં અન્ય જે વિદ્યાર્થિઓની ફી બાકી હતી તે તમામને પરીક્ષા આપવાની ના પાડવામાં આવી હતી. 'ફી ભરવાની ખાતરી આપ્યા બાદ પરીક્ષા આપવા દીધી'વધુમાં વાલીએ જણાવ્યું હતું કે, મેં સર સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે તમારે ફી ભરવી જ પડશે તો જ પરીક્ષા આપવા મળશે.જેથી મેં કહ્યું કે હું આજે ફી ભરી દઈશ તમે પરીક્ષા આપવા દો હું અત્યારે પહોંચી શકું તેમ નથી થોડીવારમાં આવીને ફી ભરી દઈશ. જેથી તરત આવીને કહ્યું કે 27 કલાકમાં હું ફી ભરી દઈશ જે બાદ મારી દીકરીને પરીક્ષામાં બેસવા દીધી હતી. બાકી બીજા વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવ્યા હતા.જેના માતા પિતા આવ્યા તેમને કહ્યું કે ફી ભરી દઈશું તેવા જ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા. 8.30 વાગ્યા સુધી તો જવા દેવામાં પણ આવતા નહતો. એક સાથે ભરવી હોય તો એક સાથે પણ ભરી શકાય છે અને અલગથી ભરવી હોય તો અલગથી પણ ભરી શકાય છે. પરંતુ બધી ભરી દીધી છે ખાલી છેલ્લી સેમેસ્ટરની જ ફી જ બાકી હતી. વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે:ઇન્ચાર્જ પ્રિન્સિપાલસૌરભ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તુલિકા શાહે જણાવ્યું હતું કે, આજથી પરીક્ષા શરૂ ગઈ છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી તેમના વાલીને ફોન કરવામાં આવ્યો છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.એવું નથી કે ફી બાકી હોય તો પરીક્ષા નહીં આપવા દઈએ. કોઈપણ વિદ્યાર્થીને બહાર ઊભા રાખવામાં આવતા ન હતા વાલીઓથી કોઈ ભૂલ થઈ હશે.
ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળ્યા:બાથરૂમની દીવાલમાં સંતાડેલા ફોન મળતા સુરક્ષા ભંગની તપાસ
ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. જેલમાંથી એકસાથે ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક કરાયેલી તપાસ દરમિયાન આ મોબાઈલ ફોન બેરેકના બાથરૂમની ઉપરની દીવાલમાં સંતાડેલા મળ્યા હતા. ઝડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક તપાસમાં જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જે બેરેકમાંથી મોબાઈલ મળ્યા છે, તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. મોબાઈલ કોણ લાવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થતો હતો અને તેમાં કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાના બનાવો બન્યા હોવાથી, આ ઘટનાએ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.
ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં:40 ડિગ્રી તાપમાનમાં જેસીબી-ડમ્પરોથી કામગીરી ચાલુ
ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની કામગીરી થઈ રહી છે. રણમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા અગરિયાઓ અને મીઠા મજૂરોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રણકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો છે. રણમાં ક્યાંય છાંયડાનું નામોનિશાન ન હોવાથી અગરિયાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, આકરી ગરમીમાં અકળાઈ ઉઠ્યા છે. અગાઉ રણમાં ટ્રકોમાં પાવડા અને બખડીયા દ્વારા મીઠું ભરવામાં આવતું હતું. ખારાઘોડા ગંજે પણ મજૂરો દ્વારા મીઠું ખાલી કરીને ગંજો બનાવવામાં આવતો હતો. જોકે, યાંત્રિક યુગ આવતા હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પરો જેવા સાધનોએ આ કામદારોની જગ્યા લઈ લીધી છે, જેના કારણે અનેક મીઠા કામદારો બેકાર બન્યા છે. મીઠું ખેંચવાની આ સીઝન આગામી અઢીથી ત્રણ મહિના સુધી ચાલવાનો અંદાજ છે. મીઠાના વેપારીઓના મતે, આ વર્ષે રણમાંથી ખારાઘોડા ગંજે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠું આવવાની શક્યતા છે.
જામનગર: આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળી રહે તે હેતુથી અમલમાં આવેલા 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં વાલીઓને મદદરૂપ થવા માટે યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા વિનામૂલ્યે હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની UPA સરકાર દ્વારા ૨૦૦૯માં અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો આર્થિક રીતે નબળા બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ સંપૂર્ણ મફત આપવામાં આવે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી માટે વાર્ષિક ₹૩,૦૦૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. RTEના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 04/04/2026થી 17/04/2026 સુધી ચાલશે. વાલીઓની સુવિધા માટે યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા શરૂ કરાયેલા આ હેલ્પ સેન્ટર પર કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરી આપવામાં આવશે. આ હેલ્પ સેન્ટર જામનગરમાં ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટૉકીઝ રોડ, માણેક સેન્ટરની બાજુમાં કાર્યરત છે. વાલીઓ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લઈ શકશે. વધુ જાણકારી કે સહાય માટે ડો. તોષીફખાન પઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા (93268 11111), મહિપાલસિંહ જાડેજા (95585 49999) અને રવિરાજસિંહ ગોહિલ (95325 22222) નો સંપર્ક કરી શકાય છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વાલીઓને સમયમર્યાદામાં આ સેવાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતનો સોમવારથી પ્રારંભ કર્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ વેરો ભરવા પાલિકા કચેરી અને સિવિક સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા અરજદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેરા વસૂલાતની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે કુલ 6 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે અરજદારોનો વેરો માત્ર 2 થી 4 મિનિટના ટૂંકા સમયમાં સ્વીકારીને પાવતી આપી દેવામાં આવે છે. વેરા શાખાના સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોમવારે સવારથી જ અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાટણ નગરપાલિકાની વેરા શાખાની કચેરીમાં સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, ગાંધી બાગ સ્થિત સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી કરદાતાઓ પોતાનો વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્મચારીઓ માટે દિવસમાં 2 થી 3 વખત રિસેસ ટાઈમ પણ રાખવામાં આવ્યો છે, જેથી કામગીરીની સાતત્યતા જળવાઈ રહે. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરવા આવતા નાગરિકોની સવલતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અરજદારોને ઊભા ન રહેવું પડે તે માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉનાળાની સિઝન અને ગરમીને ધ્યાનમાં રાખીને તમામ અરજદારો માટે ઠંડા મિનરલ પાણીની બોટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ભરનાર દાવેદારો પણ પોતાનો વેરો ભરવા માટે દોડી આવ્યા હતા. 10% સીધું વળતર: 6 એપ્રિલ 2026 થી પાલિકાના 5 વિશેષ કાઉન્ટરો શરૂ થશે. જે કરદાતા પોતાની મિલકતનો સંપૂર્ણ વેરો સાથે ભરશે, તેમને 10% વળતર (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. નોટિસ ફી માંથી મુક્તિ: 30 જૂન 2026 સુધી પાણી અને ગટર વેરામાં કોઈ પણ પ્રકારની નોટિસ ફી લાગશે નહીં. એટલે કે, જૂન મહિના સુધીમાં વેરો ભરનારને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળશે. 20% દંડ (પેનલ્ટી) થી બચો: જો તમે 1 જુલાઈ 2026 સુધી વેરો નહીં ભરો, તો પાણી અને ગટર વેરામાં 20% નોટિસ ફી (પેનલ્ટી) લાગુ થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના અંદાજે 12.77 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિત જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં લોકશાહીના પર્વની ઉજવણી થશે. વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી સંપન્ન કરવા માટે સુદ્રઢ આયોજન કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા અને લીંબડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. થાનગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પંચાયત સ્તરે, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને જિલ્લાના 10 તાલુકાઓની કુલ 180 તાલુકા પંચાયત બેઠકો માટે સામાન્ય ચૂંટણીનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયપત્રક મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે, ત્યારબાદ 13 એપ્રિલ, 2026ના રોજ ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 07:00 થી સાંજના 06:00 કલાક દરમિયાન યોજાશે. મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં સંપન્ન થશે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. તાલુકા પંચાયત માટે 20 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ અધિકારીઓ, નગરપાલિકાઓ માટે 5 ચૂંટણી અધિકારીઓ અને 5 મદદનીશ અધિકારીઓ, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારીઓ અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 12,77,560 મતદારો નોંધાયેલા છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,94,359, નગરપાલિકાઓમાં 1,10,456 અને જિલ્લા/તાલુકા પંચાયતોમાં 9,72,745 મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો 02752-284300, 285300 અથવા 285400 પર સંપર્ક કરી શકે છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ભાજપના બાકી છે. આ વચ્ચે જ સાબરમતી અને થલતેડ વોર્ડમાં ટિકિટને લઈ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. સાબરમતી વોર્ડમાં જૈન સમાજે પુરુષ ઉમેદવારની ટિકિટ આપવા માગ કરી છે. બીજી તરફકોંગ્રેસ દ્વારા 5 એપ્રિલના રોજ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાલડી વોર્ડમાં લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’ સાબરમતી વોર્ડમાં જૈન પુરુષને ટિકિટ આપવા માગગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે સાબરમતી વોર્ડમાં સામાન્ય પુરુષ સીટ પરથી જૈન સમાજને ટિકિટ આપવા અંગેની માગ ઉઠી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, સાબરમતી વિસ્તારના જૈન સમાજ દ્વારા ભાજપમાં સામાન્ય સીટ ઉપરથી જૈન સમાજના કોઈ કાર્યકર્તા કે હોદ્દેદારને ટિકિટ આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે. અહીં પાટીદાર અને જૈન સમાજનું પ્રભુત્વમદાવાદ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં સાબરમતી વોર્ડમાંથી સામાન્ય મહિલા સીટ ઉપરથી જૈન સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓની જીત થઈ હતી. જોકે આ ચૂંટણીમાં જૈન સમાજમાંથી મહિલાની જગ્યાએ પુરુષને ટિકિટ આપવાની માગ ઉઠી છે. સાબરમતી વિસ્તારમાં સામાન્ય સીટ ઉપરથી અને પુરુષ ઉમેદવારમાં સૌથી વધારે પાટીદાર અને જૈન સમાજના મત હોવાના કારણે ભાજપ દ્વારા બંને સમાજના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે જૈન સમાજ દ્વારા પુરુષ ઉમેદવારની માગ કરવામાં આવી છે, જેની પાછળનું કારણ છે કે તેમના સમાજના કામો અને સ્થાનિક લોકોના કામો પુરુષ ઉમેદવાર કરી શકે છે. મહિલા ઉમેદવાર સમય આપી ન શકતા હોવાના કારણે ઉપર સુધી રજૂઆત થતી નથી, જેને લઇને પુરુષ ઉમેદવારની માગ ઉઠી છે. વિવાદીત અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલાને ટિકિટ નહિઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2500થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના નામોની ચર્ચા શહેર સંકલન બેઠકમાં કરવામાં આવી હોવાનું સૂત્રો મુજબ જણાવવામાં આવ્યું છે. જે ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવે છે અને નિર્વિવાદિત કોર્પોરેટરોના નામોની ચર્ચા કરવામાં આવી છે. ત્રણ ટર્મ થઈ ચૂકેલા અને 60 વર્ષથી ઉપરના એક પણ ઉમેદવારની ચર્ચા કરવામાં આવી નથી. થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિવાદસ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થલતેજ વોર્ડમાં ટિકિટને લઈને આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. થલતેજ વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન બિલ્ડરનાં પત્નીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહિલા કાર્યકર્તાએ આ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં, બેઠક દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા તેમને આગળ વધીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જેનાથી અન્ય કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. પાલડીમાં કોંગ્રેસે લઘુમતિને ટિકિટ આપતા ભાજપે મુદ્દો બનાવ્યોપાલડી વિસ્તારમાં જૈન અને હિન્દુ ધર્મની વસ્તી સૌથી વધારે છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાંથી લઘુમતી સમાજના મહિલાને ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ દ્વારા મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે. પાલડી વિસ્તારમાં ધીમે-ધીમે લઘુમતી સમાજનું પ્રભુત્વ વધી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા ત્યાં બાંધકામો ઉભા કરવા અથવા મકાનો ખરીદવામાં આવી રહ્યા હોવાને લઈને ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘કોંગ્રેસે મુસ્લિમ મહિલાને ટિકિટ આપી મેસેજ આપ્યો કે- તમારી સાથે છીએ’અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પાલડી વોર્ડમાં 73 હજારથી વધારે હિન્દુ મતદારો અને 4200 જ મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ દ્વારા પાલડી વોર્ડમાં મુસ્લિમ સમાજના મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસે એક મેસેજ આપ્યો છે કે, અમે તમારી સાથે જ છીએ અને પાલડીને જુહાપુરા બનાવવાના છે. જમાલપુરથી જુહાપુરા વાયા પાલડી વાસણા કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, જિલ્લા પંચાયતનાઉમેદવાર આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 1 આમ આદમી પાર્ટીની ચોથી યાદી જાહેર, તાલુકા પંચાયતના ઉમેદવાર યાદી 2
સુરતમાં પતિ-પત્નીનો આપઘાત:ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં પતિ-પત્નીએ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. એક વર્ષ પહેલા જ બંનેના લગ્ન થયા હતા. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથાની બહાર રાઈડ્સના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે.કથા સ્થળે નાના બાળકો માટે રાખવામાં આવેલી રાઇડ્સનું સંચાલન લઘુમતી સમાજના લોકોને આપ્યું હોવાનો કોન્ટ્રાક્ટર પર સ્થાનિક હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે.આ મુદ્દે સંગઠનના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હોબાળો મચાવીને રાઇડસ બંધ કરાવી હતી. ઘનશ્યામ વાવડિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટમાં લઘુમતી સમાજના લોકો સાથે ભાગીદારી કરી હોવાનો પણ હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે કથા સ્થળે સંગઠનના લોકો પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં રાઇડ્સ બંધ કરાવી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. ‘હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી’હિન્દુ સંગઠનના યુવાનોનો આક્ષેપ છે કે, લઘુમતી સમાજના લોકોને રાઈડ્સનું સંચાલન આપીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવી છે,જેના કારણે ભારે રોષ ફેલાયો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે,જેને પગલે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ‘કથા સ્થળે અમારા કાર્યકરોએ ચેકિંગ કર્યું’હિન્દુ એકતા સંગઠનના સભ્ય નયન સકપાલએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ હિન્દુ સંગઠન ગોત્રી દ્વારા આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અત્યારે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચાલી રહી છે. ત્યાં શાંતિનો ભંગ ન થાય અને અપવિત્રતા ન ફેલાય તે હેતુથી અમે અહીં આવ્યા હતા. અમે કથા સ્થળે મેળાની અંદર અને બહાર એમ બંને બાજુ ચેકિંગ કર્યું.આ દરમિયાન અમને જાણવા મળ્યું કે,મેળામાં જેટલી પણ રાઈડ્સ છે, તે તમામ રાઈડ્સના માલિકો લઘુમતી સમાજના લોકો છે. ‘હિન્દુ કોન્ટ્રાક્ટર 50 ટકા ભાગીદારીમાં છે’નયન સકપાલે વધુમાં જણાવ્યું હતું કે,આ રાઈડ્સના કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈ નામના એક હિન્દુ વ્યક્તિ છે.તેમણે 50 ટકાની ભાગીદારીમાં આ લોકોને હનુમાનજીની કથાની બાજુમાં જ રાઈડ્સનું સંચાલન આપેલું છે.આ બાબતને ધ્યાનમાં રાખીને અને હિન્દુત્વની પવિત્રતા જળવાઈ રહે તે માટે અમે અત્યારે આ બધી જ રાઈડ્સ બંધ કરાવી દીધી છે. આ સમગ્ર મુદ્દે કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાવડિયાએ જણાવ્યું હતું કે,કથામાં આપણે રાઈડ્સ ચલાવવા માટે માણસો રાખેલા છે.એમાં બે-ત્રણ છોકરાઓ હતા.જે યુપીના છોકરાઓ હતા,તે વતનમાં ગયા હોવાથી આ નવા છોકરાઓ રાખ્યા હતા.એ બાબતે કોઈકે માથાકૂટ કરી હશે પણ હવે બધું પતી ગયું છે.એમની સાથે કોઈ ભાગીદારી નથી.એ માત્ર મારા માણસો જ છે અને રાઈડ્સ પણ મારી પોતાની જ છે.
IPLની ચાલી રહી છે, ત્યારે મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાઈ રહ્યો છે. અમદાવાદ પોલીસે એસ.જી. હાઈવે, ઘાટલોડિયા અને સોલામાંથી જાહેરમાં સટ્ટો રમતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પેલેડિયમ મોલ પાસે યુવક સતત ફોનમાં વ્યસ્ત હતોએસ.જી.હાઈવે પર આવેલા પેલેડિયમ મોલની પાસે વિશાલ પાનપાર્લર આવેલુ છે, જ્યાં જાહેર રોડ પર એક યુવક સતત મોબાઈલ ફોનમાં એક્ટીવ હતો. ઝોન 1ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને શંકા જતા તે યુવક પાસે ગઈ હતી અને તેનો મોબાઈલ લઈ લીધો હતો. યુવક મોબાઈલમાં મેચની આઈડી મળી આવી હતી, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેગ્લુરૂ વચ્ચેની મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. યુવકનું નામ શ્યામ પટેલ છે અને તે ચાંદખેડા ખાતે આવેલા ઝુંડાલમાં રહે છે. પોલીસે શ્યામ પટેલની ધરપકડ કરીને વસ્ત્રારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઘાટલોડીયામાંથી પણ એક ઝડપાયો ઝોન 1 લોકલ ક્રાઈમ બ્રાંચની બીજી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તે ઘાટલોડીયા ખાતે આવેલા શ્રીજી ચાયવાલે ખાતે પહોંચ્યા હતા, જ્યા એક યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. એલસીબીએ યુવકની અટકાયત કરી લીધી હતી, જેમાં તે મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે બિહારીલાલ કોશ્ટીની ધરપકડ કરી છે, જે અમરાઈવાડી ખાતે રહે છે. 50 વર્ષિય બિહારીલાલને જોલી નામના વ્યકિતએ મેચની આઈડી આપી હતી. પોલીસે બિહારીલાલ અને જોલી વિરૂદ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્રીજી ઘટનામાં પણ યુવકના ફોનમાંથી ID મળીસોલા પોલીસે બાતમીના આધારે સોલા ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસેથી વિરાજ ઝાંઝવાડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. આ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન ચેક કરતા હિસ્ટ્રીમાં આઇપીએલની રોયલ ચેલેન્જ બેંગલોર અને ચેન્નઇ સુપરકિંગની વચ્ચે રમાઈ રહેલી મેચમાં યુવક સટો રમતો હતો. યુવકની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો. સોલા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મનપાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ગઈકાલે 40 ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નારાજગીના સુર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે નારાજગી વ્યક્ત કરી વોર્ડ નંબર 13ના મહિલા ઉમેદવાર અંજનાબેન પંચાસરાને કોઈ ઓળખતું નથી આ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી. આ ચૂંટણીમાં અમે કમલેશ કોઠીવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી અને તેમને ટિકિટ ન આપવામાં આવે તો તેમને પોતાને ફાળવવામાં આવે તેવી માંગ પાર્ટી સમક્ષ રાખી હતી. જો કે પાર્ટીએ કમલેશ કોઠીવારને વોર્ડ નંબર 12માં ટિકિટ ફાળવી 13 નંબરમાં મિસ્ત્રી સમાજના અંજનાબેનને ટિકિટ ફાળવી છે જેને કોઈ ઓળખતું નથી માટે અમારી સાથ સંકલન કરી ટિકિટ ફાળવી હોત તો પરિણામ યોગ્ય આવી શકત જો કે આ ટિકિટ ફાળવણીથી ચૂંટણીના પરિણામ પર અસર ચોક્કસ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ટિકીટ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે વોર્ડ નંબર 13ના ઉમેદવારને લઇને નારાજગી વ્યક્ત કરી છે. જાગૃતિબેન દ્વારા વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલને ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી હતી જો કે કમલેશ કોઠીવાલના બદલે અંજના પંચાસરાને જાહેર કરતા જાગૃતિબેન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટી દ્રારા અમને સંકલનમાં લીધા વગર જ નામો જાહેર કર્યાં છે જે ઉમેદવારને જાહેર કર્યા તેઓ પાર્ટીના કોઇ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. કોંગ્રેસના નેતા જ ઓળખતા નથી તો કેવી રીતે લોકો ઓળખે તે મોટો સવાલ છે. ટિકિટ ફાળવણી એ પાર્ટીનો નિર્ણય છે માટે પાર્ટીના નિર્ણય સાથે છીએ પરંતુ અમને વિશ્વાસમાં લીધાં હોત તો પરિણામ સારૂ મળ્યું હોત એવું અમારું ચોક્કસ માનવું છે. ચૂંટણી પરિણામ પર આની અસર જોવા મળે તો નવી નહિ કારણ કે લોકો વચ્ચે રહેતા નેતાને ટિકિટ ફાળવવામાં આવી નથી. હું 10 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું મેં આ બહેનને ક્યારે પણ જોયા નથી. કમલેશને આ વોર્ડમાં ટિકિટ આપવાની માંગ એટલા માટે કરી હતી કારણ કે તે સ્થાનિક ઉમેદવાર છે અને લોકો વચ્ચે રહે છે 25 વર્ષથી પાર્ટીનો કાર્યકર છે. જ્ઞાતિ સમીકરણ આધારે અમે આ વિસ્તારમાં કમલેશને ટિકિટ આપવા માંગ કરી હતી.
જામનગરના વાલસુરા રોડ પર રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના એક તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે અધિકારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના આઈ.એન.એસ. વાલસુરા નજીક મેઈન ગેટથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, ત્રણ નેવી તાલીમાર્થી અધિકારીઓ પુણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને કારમાં વાલસુરા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ અનુસાર, કાર ચાલક અનુવ્રત પાંડે ગાડી પૂરઝડપે ચલાવી રહ્યા હતા. અચાનક ગાડીનું એક વ્હીલ રસ્તાની બહાર ઉતરી જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર પલટીઓ મારીને રસ્તાની બાજુએ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાડી ચલાવતા અનુવ્રત પાંડે અને બાજુમાં બેઠેલા સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી તેઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુ દ્વારા જામનગર પોલીસમાં કારચાલક અનુવ્રત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. દિગ્ગજ નેતાઓનું નિવાસસ્થાન, છતાં સુવિધાઓ 'રામ ભરોસે' વોર્ડ નંબર 1માં ભાજપના બે પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ અને મનોજ પટેલ તેમજ વર્તમાન મહામંત્રી સંજય પટેલ જેવા કદાવર નેતાઓ રહે છે. ગત ટર્મમાં અહીં ભાજપે ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ વખતે પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ ચૂંટણી લડવાના નથી, ત્યારે ભાજપમાંથી જ ટિકિટ મેળવવા માટે 20થી વધુ દાવેદારોએ લાઈન લગાવી છે. પરંતુ, પાયાના પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી ઉમેદવારો માટે પ્રચારમાં જવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. સ્થાનિકોનો રોષ: નેતાઓ ફક્ત ચૂંટણીમાં જ દેખાય છે વોર્ડમાં આવેલા ધનાવાડા, ધાંધલના છાપરા અને કાલિકા મંદિર વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. નાગરિકોના અવાજમાં તેમની વ્યથા: નિકેશ ઠાકોર (સ્થાનિક રહીશ)એ જણાવ્યું હતું કે, કાળકા બાગ એક સમયે બાળકોથી ધમધમતો હતો, આજે ત્યાં દારૂડિયાઓ અને જુગારીઓનો અડ્ડો છે. બગીચામાં દારૂની બોટલો પડી હોય છે. આ બગીચા માટે 6 કરોડ રૂપિયા પાસ થયા હતા, પણ એ પૈસા લોકોના ખિસ્સામાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. નેતાઓ અને અધિકારીઓ ફક્ત પૈસા ખાવાની જ વાતો કરે છે. બાબુભાઈ પરમાર (ત્રીસેરિયા વિસ્તાર)એ જણાવ્યું હતું કે, ગંદકીની સમસ્યા એક વર્ષથી સતત ચાલુ છે. કોર્પોરેટરો ચૂંટણી આવે ત્યારે જ આંટા મારે છે, બાકી કોઈ દિવસ ડોકાતા નથી. 'આજ કરીએ, કાલ કરીએ' કહીને આશ્વાસન આપીને ચાલ્યા જાય છે. નગરપાલિકાનું ખાતું સાવ રામ ભરોસે ચાલે છે, કોઈ પૂછવા વાળું નથી. લલિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ચોમાસું આવશે એટલે અમે ડૂબશું. થોડા દિવસ પહેલાં નેતાઓ આવ્યા હતા, હાથમાં કોદાળી પકડાવીને ફોટા પડાવ્યા અને ચાલ્યા ગયા, હજી કામ ચાલુ નથી કર્યું. હવે તો અમારો એક જ મિજાજ છે - પહેલાં રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરો તો જ વોટ આપીશું, નહિતર વોટ આપવો જ નથી. ગટર અને પીવાના પાણીની વિકટ સમસ્યા વોર્ડમાં માત્ર રસ્તા જ નહીં, પણ પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. 3-4 દિવસે માંડ પાણી આવે છે અને ગટરો ઉભરાવી એ રોજની સમસ્યા છે. ભુગુબેને જણાવ્યું હતું કે, અમે નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ, પણ દુકાનમાં વરસાદી પાણી ઘુસી જાય છે. ગટર ઉભરાવવાને કારણે છોકરાઓને શાળાએ જવામાં રજા પાડવી પડે છે, તેમનું ભણતર બગડે છે. ત્રણ-ચાર દિવસે પીવાનું પાણી આવે છે, નળવેરો ભરીએ છીએ છતાં આ હાલત છે. વોટ લેવા માટે નેતાઓ 'બાપા-બાપા' કરતા આવે છે, પણ ગરજ સરી જાય એટલે કોઈ ખબર લેતું નથી. કોકિલાબેને જણાવ્યું હતું કે, ગટરનું પાણી સીધું ઘરમાં ભરાય છે. ગંદકીમાં અમારે રાંધવાનું અને ગંદકીમાં જ રહેવાનું? નેતાઓ વોટ લઈને જતાં રહે છે પણ આ નરક જેવી સ્થિતિમાંથી અમને કોઈ બહાર નથી કાઢતું. અમને માત્ર પાણીનો નિકાલ જોઈએ છે. રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગટર ઉભરાવાને કારણે આંગણવાડીના બાળકોને પણ તકલીફ પડે છે. મરણ પ્રસંગ હોય તો પણ નીકળવું મુશ્કેલ છે. રસ્તાઓ બિસ્માર છે. જે નેતાઓ આવશે તેમને અમે સ્પષ્ટ કહીશું કે કામ થશે તો જ મત મળશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળોની અવદશા વિશ્વવિખ્યાત રાણકીવાવ આ વોર્ડની નજીક હોવા છતાં પાલિકા પાસે કોઈ આયોજન નથી. જગતજનની કાલિકા માતાના મંદિર પાસે પણ સ્થિતિ દયનીય છે. અશોકભાઈ વ્યાસ (કાલિકા મંદિર વિસ્તાર)એ જણાવ્યું હતું કે, મંદિર અને વાઘેરીવાસ વચ્ચેનો હેરીટેજ રોડ સામાન્ય વરસાદમાં પણ તળાવ બની જાય છે. અધિકારીઓ અને નેતાઓ આ જ પાણીમાંથી પસાર થાય છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. કલેક્ટર અને ચીફ ઓફિસરને અનેક અરજીઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. વોર્ડ નંબર 1ના 9627 મતદારો આ વખતે પરિવર્તન અથવા કડક અમલવારીના મૂડમાં છે. પાટીદાર, ઠાકોર અને મુસ્લિમ સમાજ સહિતના જ્ઞાતિ સમીકરણો વચ્ચે અસંતોષનો આ સૂર કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે જોવું રહ્યું. 'પહેલા કામ અને પછી વોટ'નો ગુંજતો આ અવાજ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે.
શહેરના સચિન વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઈક પર સવાર થઈને પરિવારના ત્રણ સભ્ય પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રકચાલકે કાબૂ ગુમાવતા બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર માર્યા બાદ પણ ટ્રકચાલક વાહન રોકવાને બદલે ઝડપ વધારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 23 વર્ષીય લક્ષ્મીનું ઘટનાસ્થળે મોત, માતાની હાલત ગંભીરઆ અકસ્માતમાં બાઈક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. ફરાર ટ્રકચાલક વિરુદ્ધ સચિન પોલીસે ગુનો નોંધ્યોઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફરાર ટ્રકચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત, એક ગંભીર:શોભાસણથી ટેચાવા હાઇવે પર અકસ્માત, ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર
સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. Iગઇકાલે(5 એપ્રિલ) સવારે અમૃતજી પુંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તમાકુના સેમ્પલ બતાવવા માટે બાઇક પર નીકળ્યા હતાસાબરકાંઠા જિલ્લાના પહાડી પોલના રહીશ અજયકુમાર વાઘેલાના પિતા અમૃતજી પુંજાજી વાઘેલા અને તેમના ગ્રામજન ભાલાભાઈ મણાભાઈ વાઘેલા રવિવારે સવારે તમાકુના સેમ્પલ બતાવવા માટે મોટરસાઇકલ GJ-07-DR-8441 લઈને નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા. ટ્રકે બાઇકને ટક્કર મારીગઇકાલે સવારના આશરે 11:30 વાગ્યાની આસપાસ શોભાસણથી ટેચાવા વચ્ચેના હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ટાટા કંપનીની ટ્રક GJ-12-BY-1391ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અમૃતજી વાઘેલા અને ભાલાભાઈ વાઘેલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ રીફર કરાયાઅકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતજી વાઘેલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. લાડોલ પોલીસે અજય કુમારની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયું હોવાની વાત છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જે પૈકી ત્રણ બંધ કરી દેવામાં આવી છે. સુરત બેંગકોકની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 10.50 વાગ્યે સુરતથી ઉપડતી હતી અને સાંજે 5.10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. હવે, બુકિંગ બંધ થતાં આ રૂટ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, અહીંથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. સુરતથી બેંગકોકની ફ્લાઈટ બંધહવે 29 માર્ચથી 24 ઓક્ટોબર દરમિયાન લાગુ થયેલા ઉનાળાના સમયપત્રકમાં ફ્લાઇટની સંખ્યા ઘટાડીને ત્રણ કરાઈ હતી, બે દુબઈ અને એક બેંગકોકની ફ્લાઈટ. જોકે, બેંગકોકની ફ્લાઈટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે જુલાઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થશે. અગાઉ, 29 માર્ચથી શારજાહ ફ્લાઇટ્સ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જ્યારે દુબઈની એક વધારાની લાઇટન ફ્લાઇટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકેઃ સંજય જૈનવી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈનએ જણાવ્યું કે, ટાટા ગ્રુપના એરલાઈનની ઇન્ડિયાને દૂર કરવામાં આવી, પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ધીમે ધીમે ઘટાડવામાં આવી. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહના રૂટ બંધ કરવામાં આવ્યા અને બેંગલુરુ અને દુબઈની ફ્રીક્વન્સીઝ ઘટાડવામાં આવી છે. આ સતત ફેરફારનો ભોગ મુસાફરો બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકે છે. ‘આ સુરત સાથે સ્પષ્ટ અન્યાય’દેશના નવમા સૌથી મોટા શહેર સુરત સાથે હવાઈ સેવાઓના મામલે જે વર્તન થઈ રહ્યું છે, તેને હવે “અવગણના” કહેવાથી પણ વાત પૂર્ણ થતી નથી, આ સ્પષ્ટ અન્યાય છે. તાજેતરમાં Air Indiaએ 15 મે, 2026થી દિલ્હી–લુધિયાણા વચ્ચે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં એરબસ A320 વિમાનનો ઉપયોગ થશે. સવાલ સીધો છે દેશના ટોપ 10 શહેરમાં સ્થાન ધરાવતું સુરત હજુ પણ તેમની પ્રાથમિકતામાં કેમ નથી? શું સુરત ભારતનો ભાગ નથી? ‘આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી’ખાસ વાત એ છે કે, લુધિયાણા જેવી સિટી, જેના વસ્તી આંકડા માત્ર 20-25 લાખ આસપાસ છે, ત્યાં નવી ફ્લાઈટ શરૂ થાય છે, જ્યારે સુરત જેવી લગભગ 90 લાખ વસ્તી ધરાવતી મેગાસિટી આજે પણ અવગણાઈ રહી છે. તો શું Air Indiaને એવું ભ્રમ છે કે, 25 લાખની સિટી 90 લાખની સિટી કરતા વધુ નફાકારક છે? કે પછી આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી? વાસ્તવિકતા એ છે કે, થોડા વર્ષો પહેલાં Air Indiaએ સુરતને સાવ સાઈડલાઇન કરી દીધું અને તેની તમામ ફ્લાઈટ્સ પોતાની સબસિડિયરી Air India Expressને સોંપી દીધી. આ પગલું એ સ્પષ્ટ સંકેત આપે છે કે સુરતને “બજેટ ક્લાસ શહેર” તરીકે ગણવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી માત્ર દિલ્હી અને બેંગલુરુ માટે મર્યાદિત ફ્લાઈટ્સ ચલાવે છે, એ પણ શહેરની વાસ્તવિક જરૂરિયાતોની સામે નગણ્ય છે. ‘ઘણી ફ્લાઈટ્સ 90 ટકા ભરેલી ઉડી રહી છે’બીજી તરફ, દેશની સૌથી મોટી એરલાઇન્સ IndiGo સુરતથી સૌથી વધુ ફ્લાઈટ્સ ચલાવી રહી છે અને તેની ઘણી ફ્લાઈટ્સ 90 ટકા લોડ સાથે ભરીને ઉડી રહી છે. સુરત એરપોર્ટ પર દર મહિને સરેરાશ 85 ટકા ઓક્કુપન્સી નોંધાય છે, આંકડા ચીસો પાડી ને કહી રહ્યા છે કે માગ છે, મુસાફરો છે, અને વિકાસની તકો છે. તો પછી પ્રશ્ન વધુ ગંભીર બને છે, આટલો મજબૂત અને સતત ટ્રાફિક આપતા સુરત પ્રત્યે Air India અથવા તેનું મેનેજમેન્ટ શું સૂગ ધરાવે છે? ‘હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે’જ્યારે દેશના અનેક શહેરોમાં Air India અને Air India Express બંનેની ફ્લાઈટ્સ સાથે-સાથે ઓપરેટ થાય છે, ત્યારે સુરત માટે આ મોડલ કેમ લાગુ પડતું નથી? સુરત કરતા નાના શહેરોમાં પણ એર ઇન્ડિયા નિયમિત સેવા આપે છે, તો પછી સુરતનું નામ આવતાં શું ઊપડે છે? શું આ ખુલ્લી ભેદભાવની નીતિ નથી? સુરત આજે દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાંથી એક છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી, સુરતનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. છતાં હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે, આ હવે સહન શક્તિની બહાર છે . એરલાઇન્સ સામે મજબૂત વલણ અપનાવવામાં નહીં આવે, તો સુરતને તેનું યોગ્ય સ્થાન ક્યારેય નહીં મળે. વિકાસના મોટા મોટા દાવા ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે શહેરને તેની જરૂરી સુવિધાઓ મળે, નહીંતર આ બધું માત્ર ખાલી શબ્દો જ રહેશે.
અમદાવાદમાં સ્કૂલ,કોર્ટ,પાસપોર્ટ ઓફિસ બાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી રાણીપ પોલીસ સ્થળ પર પહોચી છે. પોલીસ દ્વારા RTO ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કના અબોલ વન્યજીવોને ગરમીની લૂ ન લાગે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા વીઆઈપી કક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કમાં વસતા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓથી લઈને નાના પક્ષીઓ સુધીના તમામ જીવો માટે ઉનાળાને હરાવવા ખાસ સમર પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આકરી ગરમીમાં પ્રાણીઓ તણાવમુક્ત રહે અને તેમનું તાપમાન જળવાઈ રહે તે માટે ટેકનોલોજી અને કુદરતી પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. ઠંડક આપતા ખોરાકનું પણ આયોજનરાજ્યભરમાં ઉનાળાનો પ્રકોપ વધતા અને તાપમાનનો પારો આસમાને પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ વન્યજીવો પણ હીટવેવની ચપેટમાં આવી જતા હોય છે. ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ ઈન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાની આ આકરી ગરમીથી વન્યજીવોને રક્ષણ આપવા માટે ગીર ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પાર્કમાં વસતા 600થી વધુ પશુ-પક્ષીઓ અને સરીસૃપોને ગરમીથી બચાવવા માટે આધુનિક કૂલિંગ સિસ્ટમથી લઈને ઠંડક આપતા વિશિષ્ટ ખોરાક સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. પાંજરાઓમાં ગરમી ઘટાડવા વોટર કૂલર લગાવાયાગરમીના લીધે તાપમાન વધતા વન્યજીવો પર તેની સીધી શારીરિક અસર જોવા મળતી હોય છે, જેને નિયંત્રિત કરવા માટે ઈન્દ્રોડા પાર્કના સત્તાવાળાઓ દ્વારા પાંજરાઓમાં ગરમી ઘટાડવા માટે વોટર કૂલર અને આશરે 80 જેટલી ખસની ટટ્ટીઓ લગાડવામાં આવી છે. આ ખસની ટટ્ટીઓ પર સમયાંતરે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પાંજરાની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા 3થી 4 ડિગ્રી જેટલું નીચું રહે છે. ખોરાકમાં પણ ઉનાળા અનુરૂપ ફેરફારો કરાયાઆ ઉપરાંત હવામાં ઠંડક પ્રસરાવવા માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર્સ અને સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ફુવારાઓ દ્વારા થતો પાણીનો ઝીણો છંટકાવ વાતાવરણને આહલાદક બનાવે છે અને પ્રાણીઓને લૂ લાગવાથી બચાવે છે. ઉપરાંત પ્રાણીઓની જીવનશૈલી અને ખોરાકમાં પણ ઉનાળાને અનુરૂપ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે માંસાહારી અને હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ અને દીપડા માટે ગીર ફાઉન્ડેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ હિંસક પ્રાણીઓને આઈસ ક્યુબમાં થીજવેલું મીટ એટલે કે માંસના ટુકડા આપવામાં આવે છે. જે એક પ્રકારે તેમના માટે આઈસ કુલ્ફી સમાન સાબિત થાય છે. આ પદ્ધતિથી પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તેઓને પૂરતું હાઈડ્રેશન પણ મળે છે. અન્ય નાના કદના પ્રાણીઓ માટે પણ વિશિષ્ટ ડાયેટ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જજેમના રહેઠાણની વ્યવસ્થામાં પણ કુદરતી અને કૃત્રિમ સંતુલન જાળવવામાં આવ્યું છે. ઈન્દ્રોડા પાર્કના પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં ઘટાદાર વૃક્ષો હોવાથી પ્રાણીઓને કુદરતી છાંયો તો મળે જ છે પરંતુ વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ માટે ખાસ ઠંડી ગુફાઓ બનાવવામાં આવી છે, જ્યાં તેઓ બપોરના સમયે આરામ કરી શકે છે. જ્યારે રાત્રિના સમયે પણ ઉકળાટ ન થાય તે માટે નાઈટ શેલ્ટરમાં પંખા અને વધારાના કૂલરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આમ ગરમી સામેના આ જંગમાં વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જ બન્યું છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતી હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પિયરમાં છઠ્ઠા માળેથી કુદીને પરિણીતાનો આપઘાતનવા વાડજમાં રહેતા દિપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિતોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા.બંનેને એક બાળક પણ છે.20 માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું હતું તે આશા કૂદી ગઈ છે તેથી તમે જલ્દી ઘરે આવો.દીપક ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઇ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિશા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. પતિ ડિવોર્સની ધમકી આપતો હતોદિપકએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ આશાના 15 વર્ષ અગાઉ ચિત્તોડગઢમાં રહેતા વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા.નવેમ્બર 2025માં આશાના સાસુએ આશાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમે આશાને લઈ જાવ.જેથી આશાના માતા તેને લઈને અમદાવાદ આવ્યા હતા.આશા પરત આવી ત્યારે તેની માનસિક સ્થિતિ સારી નહોતી જેથી વસ્ત્રાપુર ખાતે માનસિક સારવાર ચાલી રહી હતી.આશા જ્યારે પિયરમાં આવી ત્યારે આશાએ પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે લગ્નના ચાર પાંચ દિવસ બાદથી વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું છે.આશાની સારવાર ચાલુ હતી ત્યારે પણ વિપુલ આશાને ફોન કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી પણ આપતો હતો. ‘મને યોગ્ય લાગશે તો જ સાથે રાખીશ નહીંતર ડિવોર્સ આપી દઇશ’13 ફેબ્રુઆરીના રોજ આશાને મળવા વિપુલ અમદાવાદ આવ્યો હતો ત્યારે વિપુલ ગુસ્સે થઈ ગયો હતો,વિપુલે આશા અને પરિવારને ધમકી આપી હતી કે હું આશાને લઈ જઈશ તો એક જ શરત ઉપર લઈ જઈશ,હું તેને મારી સાથે એક વર્ષ સુધી રાખીશ અને મને યોગ્ય લાગશે તો સાથે રાખીશ નહીં તો ડિવોર્સ આપી દઈશ.આશાના આપઘાતના એક દિવસ પહેલા પણ વિપુલે આશાને ફોન કરીને માનસિક ત્રાસ આપી ડિવોર્સની ધમકી આપી હતી.જે બાબતે લાગી આવતા આશાએ નવા વાડજના મંગલા ગૌરી રેસીડેન્સીમાં છઠ્ઠા માટેથી કુદીને આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલે વાડજ પોલીસે વિપુલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા મહિલાઓ માટે આયોજિત બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉમંગ ટીમે વિજય મેળવી હેટ્રિક નોંધાવી છે. આ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા આ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમ ઉમંગને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ઉમંગ ટીમે સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધા જીતીને હેટ્રિક નોંધાવી છે. આ ટીમમાં અંજલીબેન પાટીલ, આરતીબેન સામાણી, સીમાબેન ધોકાય, સંગીતા કામળ અને કામિનીબેન નાયર જેવી મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ ઘર અને રમતગમત બંને ક્ષેત્રે સક્રિય રહે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે જનતા વચ્ચે જઈને પ્રસાર-પ્રચાર શરૂ કર્યો છે. આ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતા વચ્ચે જવું પડકારજનક બની રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ 5 એપ્રિલના રોજ અન્ય નેતાઓ સાથે જ્યારે પોતાના વિસ્તાર (વોર્ડ નં.9)માં પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા, ત્યારે તેમને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાના બજેટ રજૂ કરનાર અને વિકાસના દાવા કરનારા પૂર્વ ચેરમેનને જનતાએ પાયાની સુવિધાઓ મુદ્દે આડેહાથ લીધા હતા. ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેરી સવાલોનો મારો ચલાવ્યોરાંદેર ગામમાં રાંદેર ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. સ્થાનિકોએ સીધો સવાલ કર્યો હતો કે, ‘તમે આટલા વર્ષોમાં અહીં ક્યારેય દેખાયા છો? આજે મતોની જરૂર પડી ત્યારે જ કેમ આવ્યા?’ લોકોએ મોઢામોઢ કહી દીધું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા આવ્યું નથી. નેતાઓ જ્યારે આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આવા વાયદાઓ તો અમે છેલ્લા 20 વર્ષથી સાંભળીએ છીએ. ગંદા પાણીની ડોલ લઈને વિરોધ, પૂર્વ ચેરમેન જોતા જ રહી ગયાવિરોધનું સૌથી ઉગ્ર સ્વરૂપ ત્યારે જોવા મળ્યું, જ્યારે સ્થાનિક રહીશ હાથમાં ગંદા પાણીની ડોલ લઈને રાજન પટેલની સામે આવી પહોંચ્યા હતા. આ ડોલમાં કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી હતું, જે સ્થાનિકોના ઘરે નળમાં આવી રહ્યું છે. લોકોએ આ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને પૂછ્યું હતું કે, ’શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની વાતો કરો છો પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી.’ આ દૃશ્ય જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કોઈ ઉત્તર આપી શક્યા નહોતા. કરોડોનું બજેટ રજૂ કરનાર રાજન પટેલ સામે લોકરોષઉલ્લેખનીય છે કે, રાજન પટેલ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત શહેર માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી બજેટ મંજૂર કર્યા હતા. જોકે, તેમના જ મતવિસ્તારમાં જ્યારે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા અને પીવાના પાણીની સમસ્યા વણઉકેલાયેલી જોવા મળી, ત્યારે જનતાએ તેમને આ બાબતે ઘેર્યા હતા. લોકોમાં એવી લાગણી જોવા મળી હતી કે કાગળ પરના કરોડોના બજેટ સામાન્ય માણસના ઘર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. મહિલાઓ- વૃદ્ધોએ સીધુ જ કહી દીધુ- ‘આ વખતે વોટ નહીં મળે’આ વિરોધ પ્રદર્શનમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે અવરજવર કરવી મુશ્કેલ બની છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ વોટ આપવાનું નથી. લોકોએ નેતાઓને સાફ કહી દીધું હતું કે માત્ર ચૂંટણી સમયે જ દેખા દેતા નેતાઓને હવે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. આ પણ વાંચો… ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર, પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, ચૂંટણી બહિષ્કારની ચીમકીકાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે તીખી તકરારજ્યારે જનતાનો રોષ વધી રહ્યો હતો, ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી. એક કાર્યકર્તાએ જ્યારે સ્થાનિકોને એમ કહ્યું કે, તમે આ બાબતે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા?, ત્યારે લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અગણિત વાર ફરિયાદો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. આ દરમિયાન જ્યારે કોઈએ મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકો ભડક્યા હતા અને કહ્યું હતું કે, અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 26ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એકતરફ ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચારની તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં શ્રવણ જોશી ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. બે કાર્યકર્તાઓ દ્વારા ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યાં છે. પૂર્વ કોર્પોરેટરનો AI વીડિયો વાઇરલ કરવાનો મામલોપૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ મામલે અમિતસિંહ રાજપૂતે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હવે જાહેર થયેલા ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે નિવેદન નોંધાવવા માટે શ્રવણ જોશી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્રણ કલાકની પૂછપરછ બાદ તબિયત લથડીગોડાદરા પોલીસ મથકમાં શ્રવણ જોશીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનમાં અંદાજે ત્રણ કલાક સુધી સતત પૂછપરછ અને નિવેદન લેવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન શ્રવણ જોશીને અચાનક પરસેવો થવા લાગ્યો હતો અને તેઓ શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. નિવેદન આપતી વેળાએ જ તેઓ અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. પોલીસ મથકમાં જ ઉમેદવાર બેભાન થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક મેડિકલ સહાય માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પણ ઉજવણીને બદલે હોસ્પિટલચોંકાવનારી વાત એ છે કે, જ્યારે શ્રવણ જોશી પોલીસ મથકમાં પૂછપરછ હેઠળ હતા અને બેભાન થયા, બરાબર તે જ સમયે આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વોર્ડ નંબર 26માંથી શ્રવણ જોશીને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉમેદવાર તરીકે નામ જાહેર થાય ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ હોય છે, પરંતુ શ્રવણ જોશીના કિસ્સામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી. તેઓ ઉજવણી કરી શકે તેવી સ્થિતિમાં નહોતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માનસિક ત્રાસને કારણે તબિયત બગડીઃ વકીલશ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, આ સ્પષ્ટપણે માનસિક ત્રાસનો કેસ છે. શ્રવણ જોશીની તબિયત અગાઉથી જ નરમ હતી, તેમ છતાં તેમને ત્રણ કલાક સુધી બેસાડી રાખી પૂછપરછ કરવામાં આવી હતી. વકીલનો આરોપ છે કે, શ્રવણ જોશીએ ભૂખ લાગી હોવાથી જમવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેમની વાત સાંભળવામાં આવી નહોતી અને સતત નિવેદન લેવાનું ચાલુ રખાયું હતું. યોગ્ય રીતે નિવેદન ન લેવાતા અને શારીરિક નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાનું વકીલે ઉમેર્યું હતું. શ્રવણ જોશી ઉપર આ ત્રીજો કેસપોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રવણ જોશી સામે નોંધાયેલો આ પ્રથમ ગુનો નથી. આ તેમની ઉપરનો ત્રીજો કેસ છે. અગાઉ ખંડણી મામલે બે કેસ નોધાઇ ચૂક્યા છે પાસાના ઓર્ડર પણ થયા છે જોકે હાઇકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિટી બી ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનો છે. આ ઉપરાંત, પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી પણ સઘન બનાવી છે. આ પગલાંઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ભાવનગરમાં સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા 'ચકલી બચાવો અભિયાન 2026'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે નિષ્કલંક મહાદેવના દર્શને આવતા-જતા શ્રદ્ધાળુઓને ઠંડા પાણી અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. આ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં રામપર, રતનપર, કોળિયાક, હાથબ, ખડસલીયા, લાખણકા અને મીઠીવીરડી જેવા ગામોમાં પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. આ માટે સંબંધિત ગામોના સ્વયંસેવકોની જરૂર છે. સ્વયંસેવકો શોભનાબેન સરવૈયા (મો. 9998977031) નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર રીલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે પણ આ જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત:બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવાનના મોત, બે ગંભીર રીતે ઘાયલ
સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનોના શ્વાસ થંભી ગયા હતા. મૃતક યુવાનોની વિગત અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે: તબીબોએ આ ત્રણેય યુવાનને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં અન્ય બે યુવાનને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે: સમગ્ર શહેરમાં શોકનું મોજું ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…
NW-48 પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની:કચ્છથી રાજસ્થાન સુધીના નેશનલ વોટરવે માટે કવાયત
રાજસ્થાન અને કચ્છ વચ્ચે સીધી જળમાર્ગ કનેક્ટિવિટી ઊભી કરતા મહત્વાકાંક્ષી ‘જવાઈ-લૂણી-કચ્છનું રણ નેશનલ વોટરવે (NW-48)’ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કવાયત તેજ બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંબંધિત અધિકારીઓને આ વોટરવેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી શર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોને કાર્ગો પરિવહન અને નિકાસ માટે સસ્તી વોટરવે કનેક્ટિવિટી પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને IIT મદ્રાસને આ પ્રોજેક્ટના ટેકનિકલ-નાણાકીય પાસાઓનું સઘન મૂલ્યાંકન કરવા અને જહાજોના અંદાજિત ટ્રાફિક અંગેનો તુલનાત્મક અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, 24 ઓક્ટોબર 2025 ના રોજ આ પ્રોજેક્ટ સંદર્ભે રાજસ્થાન સરકાર અને IWAI વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા હતા. બેઠકમાં IIT મદ્રાસના પ્રોફેસર કે. મુરલીએ DPR ની તૈયારીઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.નેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. રાજસ્થાનમાં પણ સ્થપાશે ‘NTCPWC’ સેન્ટરઆ બેઠકમાં નેશનલ વોટરવે-48 ની સાથે સાથે રાજ્યમાં પ્રસ્તાવિત ‘નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સના નિર્માણ અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારત સરકારના બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ‘સાગરમાલા પ્રોજેક્ટ’ અન્વયે IIT મદ્રાસ ખાતે કાર્યરત આ સેન્ટરની એક શાખા રાજસ્થાનમાં પણ પ્રસ્તાવિત છે. આ સેન્ટર NW-48 પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપશે. જહાજો કેટલી સરળતાથી ચાલી શકશે, પાણીનું સ્તર કેવું રહેશે અને પર્યાવરણને શું અસર થશે તે તમામ ટેકનિકલ માપદંડો નક્કી કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. કચ્છ અને ગુજરાત માટે પ્રોજેક્ટનું મહત્વનેશનલ વોટરવે-48 કાર્યરત થવાથી કચ્છના રણ મારફતે અરબી સમુદ્ર સુધી કાર્ગોની નિર્બાધ હેરફેર વાસ્તવિકતા બનશે. આ જળમાર્ગ પેટ્રોકેમિકલ્સ, ખનિજ, સિમેન્ટ, રસાયણો અને અન્ય ઔદ્યોગિક માલસામાનના નિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વ્યાપારી ગતિવિધિઓને નવો વેગ મળશે, જે બંને રાજ્યોના વિકાસનો મજબૂત આધારસ્તંભ બની રહેશે.
વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો છે. બોલિવૂડના એક્શન હીરો જોન અબ્રાહમ પોતાની આગામી એક્શન ફિલ્મ ફોર્સ-3ના શૂટિંગ માટે હાલ કચ્છમાં છે. તેમની સાથે અભિનેતા હર્ષવર્ધન રાણે સહિતની મોટી સ્ટારકાસ્ટ પણ કચ્છના મહેમાન બન્યા છે. છેલ્લા પાંચ કે છ દિવસથી ટીમ ધોરડો સહિતના આસપાસના વિસ્તારમાં શુટિંગ કરી રહી છે. આ ફિલ્મ એક એક્શન ડ્રામા હોવાથી કચ્છના વિશાળ સફેદ રણ અને અદભૂત લોકેશન પર મોટા પાયે એક્શન સીન્સ ફિલ્માવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું અગાઉ અમદાવાદ અને ધોરાજીમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે કચ્છની પસંદગી કરાઈ છે. શૂટિંગનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે કે કલાકારો વહેલી સવારે લોકેશન પર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ફિલ્માંકન ચાલે છે. કચ્છમાં અગાઉ ‘લગાન’, ‘રેફ્યુજી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી અનેક સુપરહિટ બોલીવુડ, ઢોલીવુડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રણ ઉત્સવને કારણે વૈશ્વિક ફલક પર ચમકેલું કચ્છ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ શૂટિંગનું મનપસંદ હબ બની રહ્યું છે. પ્રવાસન સાથે હવે ફિલ્મી દુનિયાના આકર્ષણથી કચ્છની લોકપ્રિયતા અને સ્થાનિક રોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેબલ ચોર પોલીસના સકંજામાં:ટુંડા સ્થિત કંપનીમાંથી કોપર કેબલ ચોરનાર 4 આરોપીઓને પકડી લેવાયા
મુન્દ્રા તાલુકાના ટુંડામાં આવેલ અદાણી એમપીએલ કંપનીમાંથી કોપર વાયર અને રોડની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે રૂપિયા 12.49 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.રાણાએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા ટીમને સુચના તથા માર્ગદર્શન આપ્યો હતો.જેને ધ્યાને લઇને ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી અબ્દુલકરીમ સલીમ શેખ,અજીજ અબ્દુલ્લા જુણેજા,સમીર ઉર્ફે કારો સલીમ શેખ અને ઉસ્માન સલીમ જુણેજાને ઝડપી લીધા છે. મુંદરા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, અબ્દુલકરીમ સલીમ શેખ રહે. સુખપર, મુંદરા તથા અજીજ અબ્દુલ્લા જુણેજા રહે. સુખપર, મુંદરા વાળાએ અદાણી એમપીએલ કંપનીના પોકેટ-01 તથા પોકેટ 05 માં માંથી કોપર વાયરની ચોરી કરેલી છે. બાતમીને આધારે પોલીસે બન્ને આરોપીને પકડી લીધા બાદ પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે ISGEC કંપનીમાંથી ફ્લેક્સીબલ કોપર વાયર પૈકી અમુક મુદ્દામાલ સીમર ઉર્ફે કારો સલીમ શેખના ઘરે રાખેલ તેમજ અન્ય મુદ્દામાલ દરિયા કિનારે ઝાડીમાં સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12.49 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંડે પોઝિટીવ:બંને હાથ ગુમાવવા છતાં બુલંદ હોંસલાથી ખેતી કરતા નરાના 54 વર્ષીય શીખ ખેડૂત
“મન મક્કમ હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ) ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે. 25 વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેવા છતાં, તેઓ આજે જાતે ટ્રેક્ટર અને જીપ ચલાવી, ખેતીકામ કરી પોતાના પરિવારનું હસતા મુખે ગુજરાન ચલાવી રહ્યા છે અને સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છની સરહદને સુરક્ષિત કરવા શશક્ત લોકોને વસાવવાની નીતિ અંતર્ગત નરા વિસ્તારમાં મોટી સંખ્યામાં શીખ પરિવારોને જમીન આપીને વસાવાયા હતા. હરજીન્દ્રસિંઘના દાદા નરેન્દ્રસિંઘ રાયશીખ અને પિતા નાનકસિંઘ રાયશીખ પણ ત્યારે પંજાબથી અહીં આવીને વસ્યા હતા. હરજીન્દ્રસિંઘનો જન્મ અને લગ્ન પણ નરામાં જ થયા છે અને તેઓ પોતાના દાદાને મળેલી ચાર એકર જમીનમાં ખેતી કરે છે. વર્ષ 2001માં કચ્છમાં અપૂરતા વરસાદને કારણે રોજગારી માટે હરજીન્દ્રસિંઘ પંજાબ ગયા હતા. ત્યાં એક વાડીમાં ખેતીકામ કરતી વખતે ઈલેક્ટ્રીક મોટરમાંથી અચાનક ભારે વીજ કરંટ લાગતા તેમને પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હતા. હાથ કપાઈ ગયા ત્યારે અન્ય દિવ્યાંગ લોકોને જોઇ હિમ્મત આવી“જ્યારે હાથ કપાઈ ગયા ત્યારે ક્ષણભર માટે વિચાર આવ્યો કે બીમાર માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે?” હરજીન્દ્રસિંઘે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું. “પરંતુ દવાખાનામાં મેં એવા અનેક લોકોને જોયા જેમની પાસે હાથ-પગ કે આંખો ન હતી, છતાં તેઓ હિંમતભેર જીવી રહ્યા હતા. બસ, મેં પણ મનોમન નક્કી કરી લીધું કે કિસ્મતમાં જે છે તે સ્વીકારીને મારે તો માત્ર બે હાથ જ નથી, બાકી શરીર તો સાબૂત છે.” લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા : પરિવારના સહયોગથી ખેતી અને જવાબદારીનું વહનપંજાબથી નરા પરત ફર્યા બાદ તેમણે ખેતરમાં માતા-પિતા અને પત્નીને મદદ કરવાનું શરૂ કર્યું. અદમ્ય ઇચ્છાશક્તિથી તેઓ બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને તેમાં સફળતા પણ મેળવી. તેઓ માત્ર ટ્રેક્ટર જ નહીં, જીપ પણ સરળતાથી ચલાવી લે છે. એટલું જ નહીં, તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે હેન્ડ પંપ પણ ચલાવી લે છે. તેમની હિંમતને પત્નીના અતૂટ સાથનો ટેકો મળ્યો છે. હાથ ન હોવાથી જમવા માટે ક્યારેક પત્ની તો ક્યારેક પુત્ર તેમને જમાડે છે. આ સંઘર્ષમય જીવન વચ્ચે પણ તેમણે પોતાની બંને પુત્રીઓને સારી રીતે પરણાવી છે. ચાર વર્ષ પહેલાં ટીબીથી પીડાતા પિતાનું અવસાન થયું હતું અને હાલ પાંચ વર્ષથી લકવાગ્રસ્ત પથારીવશ માતાની સેવા અને બે નાના પુત્રોના અભ્યાસની જવાબદારી પણ તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. સરકારી સહાયની હજુ પણ પ્રતીક્ષાહરજીન્દ્રસિંઘે જણાવ્યું કે તેમને હાથ ગુમાવ્યાનો લેશમાત્ર રંજ નથી. જોકે, થોડા દિવસો અગાઉ આવેલા મિની વાવાઝોડામાં તેમના મકાનના છાપરા ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સરકારી સહાય મળી નથી, જે એક ખેદજનક બાબત છે.
હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને 2 લેપટોપ, 8 ફોન અને ટીવી-રાઉટર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. માધાપરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલની મેચ પર હારજીતનો સટ્ટો રમતા આરોપી નીલેશ પ્રતાપ નંદા ભાનુશાલી, મુળ મુંબઈના અને હાલ માધાપર રહેતા આરોપી ધર્મેશ પ્રવીણ ચોથાણી ઠક્કર અને નીલેશ હરેશ ભોજવાણીને દબોચી લીધા છે. એલસીબીને બાતમી મળી હતી કે,માધવબાગ પ્લોટ નંબર એ-4 માં રહેતો આરોપી નીલેશ ભાનુશાલી પોતાના મળતિયાઓ સાથે હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર સટ્ટો રમી-રમાડી રહ્યો છે અને પોતાના રહેણાંક મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરે છે. બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ત્રણેય આરોપી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ક્રિકેટ મેચમાં હારજીત અને ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેના સટ્ટાના કુલ રૂપિયા 55.25 લાખના સોદા થયેલા હતા. બે લેપટોપ, ટીવી, આઠ મોબાઈલ અને રાઉટર સહીતનો કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરાવાયો હતો. જાપાન અને પેરિસ જેરી લાઈન પર સોદાપોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે ક્રિકેટ સટ્ટા માટે હાલમાં બે લાઈન ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેમાં જાપાન લાઈનના સોદા માટે એક અલગ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે પેરિસ જેરી લાઈનના સોદા માટે પણ અલગ મોબાઈલ રાખેલો હતો. અને સોદો થયા બાદ આરોપીઓ લેપટોપ પર તેનો હિસાબ રાખતા હતા. 3 મોબાઈલથી ગ્રાહકોના સોદા લેવાતાબુકીઓ હારજીત સહિત ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેનો સટ્ટો ગ્રાહકો પાસેથી લેતા હતા. આરોપીઓએ 3 મોબાઈલ ગ્રાહકોના સોદા લેવા રાખેલા હતા. લેપટોપમાં iAssistant એપમાં હિસાબની એન્ટ્રીઓ હતી જેમાં મુંબઈની બેટિંગ દરમિયાન 11 ઓવર સુધી દિલ્હી કેપિટલના સોદામાં -2812.33 તેમજ મુંબઈ ઇન્ડિયન્સના સોદામાં 4519.33 થયા હતા.
કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં 1 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ 1896 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા 10,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્ય સ્ટાફ તરીકે 8355 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે 1900 જેટલા વર્ગ-4ના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં સહભાગી બનશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને 1178 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેની સાથે GRD અને SRD અને હોમગાર્નાડના જવાનો પણ સામેલ હશે. તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન, બેલેટ પેપર મેનેજમેન્ટ, EVM તાલીમ અને મતદાન જાગૃતિ જેવા મહત્વના કાર્યો માટે અલગ-અલગ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંચાલન માટે જિલ્લા પંચાયતમાં 10 આર.ઓ (રિટર્નિંગ ઓફિસર) અને 17 એ.આર.ઓ, (આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર) તાલુકા પંચાયતોમાં 22 આર.ઓ અને 22 એ.આર.ઓ, નગરપાલિકાઓ માટે 7 આર.ઓ અને 7 એ.આર.ઓ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૩ આર.ઓ અને ૩એ.આર.ઓની જવાબદારી સોંપવામાં આવી છે. 1166 ઈમારતોમાં 1896 મથકો ઉભા કરવામાં આવ્યાજિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રે આંકડાકીય વિગતો જાહેર કરી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1166 પોલીંગ સ્ટેશન લોકેશન (ઇમારતો) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1896 મતદાન મથકો પર લોકશાહીનો પર્વ ઉજવાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 234 મથકો માટે 105 લોકેશન ફાળવાયા છે. જ્યારે નગરપાલિકાઓમાં ભુજ (128 મથક) અને અંજાર (66 મથક) મોખરે છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજ તાલુકામાં 293 અને રાપર તાલુકામાં 199 મથકો પર મતદાન થશે.
હોર્મુઝ સંકટ: ટ્રમ્પના અલ્ટીમેટમ વચ્ચે ઈરાને શરત મૂકી; ભારતની ચિંતા વધતાં જયશંકર એક્ટિવ
Trump's Deadline for Strait of Hormuz | પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે નિર્ણાયક વળાંક પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંગળવાર સાંજ સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે આ સમયસીમા મંગળવાર રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવાર સવાર) નક્કી કરી છે. ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ભાષામાં લખ્યું કે, જો જળમાર્ગ નહીં ખૂલે તો ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' ઉજવાશે, એટલે કે તમામ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દેવાશે.
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં અંદાજે 2 લાખ ભૂલકાઓ વાર્ષિક કસોટી આપશે
બોર્ડ પરીક્ષા પુર્ણ થઈ અને યુનિવર્સિટી - કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે આ સાથે આજથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. 6 થી 11 એપ્રિલ દરમ્યાન ધો.3 થી 5 અને તા 13 થી 22 એપ્રિલ દરમિયાન ધો.6 થી 8માં કસોટી લેવાશે. કચ્છ જિલ્લામાં 1667 સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી મળી અંદાજે 2500 શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8 ના 2 લાખ ભૂલકાઓ આજથી શરૂ થતી વાર્ષિક કસોટી આપશે. આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો આરંભ થશે. જેમાં પ્રથમ તબક્કામાં આજે 6 એપ્રિલ સોમવારે ધો.3થી 5માં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપર લેવાશે. ધોરણ 3 થી 5માં 6 એપ્રિલે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 7 એપ્રિલે ગણિત અને 8 એપ્રિલે પર્યાવરણ, 9 એપ્રિલે હિન્દી, 10 એપ્રિલ અને 11 એપ્રિલે અનુક્રમે અંગ્રેજી, મરાઠી, તેલુગુ સહિતની ભાષાઓના પ્રશ્નપત્ર લેવાશે.કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ધોરણ -3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ-5થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો માટે રાજ્ય કક્ષાએથી પ્રશ્નપત્ર તૈયાર કરીને આપવામાં આવશે.જ્યારે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષાનું આયોજન કરશે. જોકે, ખાનગી સ્કૂલોએ પણ સમાન સમય પત્રકનું પાલન કરવાનું રહેશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 13 એપ્રિલથી પરીક્ષાનો આરંભ થશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા, 15 એપ્રિલે ગણિત, 16 એપ્રિલે હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા, 17 એપ્રિલે વિજ્ઞાન, 18 એપ્રિલે અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, 20 એપ્રિલે સામાજિક વિજ્ઞાન, 21 એપ્રિલે સંસ્કૃત તેમજ 22મી એપ્રિલને બુધવારે તેલુગુ, મરાઠી, તમિલ, ઉર્દુ, જેવી પ્રથમ ભાષાના પ્રશ્નપત્રો લેવાશે. ધોરણ 6 થી 8 માં પરીક્ષાનો સમય સવારે 8 થી 11 અને પ્રશ્નપત્રમાં કુલ 80 ગુણ હશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-5 અને 8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 3 માસ અભ્યાસ કરાવ્યા બાદ તેમની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. જો પુનઃ પરીક્ષામાં તેઓ પાસ થાય તો તેમને ઉપલા ધોરણમાં પ્રવેશ ફાળવવાનો રહેશે તેમ શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. અગાઉ બંને પરીક્ષા ભેગી લેવાતી, આ વખતે અલગ અલગ આયોજનથી સરળતા થઈસામાન્ય રીતે ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા દર વખતે એકસાથે લેવામાં આવે છે.પરંતુ આ વખતે આ કસોટી બે તબક્કામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ દ્વિતીય તબક્કામાં ધોરણ 6 થી 8 ની પરીક્ષા લેવામાં આવશે.જેથી વહીવટી દ્રષ્ટિએ પણ વધુ સરળતા થશે.
દૂધ ઉત્પાદનમાં કચ્છનો ડંકો:દૂધના 7,62,045 મેટ્રિક ટન ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં 7મા ક્રમે
તાજેતરમાં ભારતીય સંસદ (રાજ્યસભા) માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં ગુજરાત અને ખાસ કરીને કચ્છ જિલ્લાએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ જોઇ શકાય છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રજૂ થયેલા વર્ષ 2024-25 ના ડેટા અનુસાર 762,045 મેટ્રિક ટન (આશરે 7.62 લાખ મેટ્રિક ટન) ના જંગી દૂધ ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં 7મા ક્રમાંકે પ્રસ્થાપિત થયો છે સંસદમાં અપાયેલી માહિતી મુજબ, વર્ષ 2024-25 માં દેશનું કુલ દૂધ ઉત્પાદન 248 મિલિયન મેટ્રિક ટન (આશરે 247,869,976 મેટ્રિક ટન) નોંધાયું છે.જેમાંથી ગુજરાતનું યોગદાન આશરે 19,293,643 મેટ્રિક ટન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત દેશના ડેરી ઉદ્યોગમાં એક મજબૂત આધારસ્તંભ છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી, બનાસકાંઠા જિલ્લો 3,546,711 મેટ્રિક ટનના ઉત્પાદન સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો અને રણપ્રદેશ ધરાવતો જિલ્લો હોવા છતાં, કચ્છના પશુપાલકોની મહેનત રંગ લાવી છે. કચ્છનું 762,045 મેટ્રિક ટનનું ઉત્પાદન એ દર્શાવે છે કે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં આશરે 3.95% હિસ્સો માત્ર કચ્છ પૂરો પાડે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ દેશના કુલ ઉત્પાદનમાં કચ્છ 0.31% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સરકારના અહેવાલ મુજબ, 2014-15 થી 2024-25 ના 11 વર્ષના ગાળામાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં 69.41% નો ઐતિહાસિક વધારો નોંધાયો છે. જેમાં પશુઓની વાર્ષિક દૂધ ઉત્પાદકતા 1648 કિલોગ્રામથી વધીને 2251 કિલોગ્રામ થઈ છે, જે 36.63% નો રેકોર્ડબ્રેક વધારો દર્શાવે છે. રાજ્યમાં કચ્છથી આગળ રહેલા ટોચના 6 જિલ્લાઓ (આંકડા મેટ્રિક ટનમાં)
શહેરમાં ચા ખાંડની પેઢી ધરાવતા પેઢી માલીકે તેમની ફેક્ટરીમાં કામ કરતી મહિલાને તેમના પતિનો પગાર તેમજ કારીગરોના પગારના રૂપિયા આપેલ હતા. જે બાદ આ મહિલા રૂપિયાનો થેલો લઇને ઘરે જતી હતી જે દરમિયાન તેમના સ્કુટરમાં રૂપિયાનો થેલો ટીંગાડેલો હતો. જે થેલો ટ્રાફિકનો લાભ લઇ બે શખ્સો લૂંટી ગયા હોવાનું ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસની તપાસમાં કંઇક ચિત્ર જુદુ જ તરી આવ્યું હતું અને ખુદ ફરિયાદ કરનાર મહિલા જ આરોપી નિકળી છે અને તેના મિત્રને રૂપિયા આપી દિધા હોવાનું અને ફેક્ટરી માલિકને રૂપિયા પરત ન કરવા પડે જેને લઇને નાટક રચ્યું હતું. શહેરમાં રહેતી શિલ્પાબેન વિજયભાઇ સોલંકી નામની મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિનો પગાર તેમજ કારીગરોનો પગાર મળી કુલ રૂા. 90,500 ભરેલો થેલો લઇને તેઓ સ્કુટરમાં ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન કરચલિયા પરા આગરીયાવાડના નાકા પાસે ટ્રાફિક જામ હોવાને લીધે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. તે વેળાએ બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવેલ હતા અને મહિલાના સ્કુટર ઉપર ટીંગાડેલો રૂપિયાનો થેલો લૂંટી ફરાર થયા હતા. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. જે દરમિયાન તપાસનીશ અધિકારીએ મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે ચિત્ર કંઇક જુદુ જ તરી આવ્યું હતું અને મહિલાએ તેના મિત્ર શ્રીધર ઉર્ફે સિદ્ધુ સોલંકીને મહિલા કોલેજ નજીક રૂપિયા ભરેલ થેલો આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે શિલ્પા સોલંકી અને શ્રીધર ઉર્ફે સિદ્ધુની ધરપકડ કરી હતી. ખોટી માહિતી આપવાની કાર્યવાહી કરાશેશિલ્પાબેન રાઠોડે પોલીસ ફરિયાદ ખોટી કરી હતી જેમાં કોઇ ઘટના બની જ ન હોય તેવી માહિતી ફરિયાદમાં લખાવવામાં આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં પણ સરકારી કર્મચારીઓને ગુમરાહ કરી રહી હતી. હાલ બંન્ને આરોપી ગંગાજળીયા પોલીસને સોંપી આપેલ છે અને સરકારી કર્મચારીને ખોટી માહિતી આપવા બાબતેની મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. > પી.ડી.ઝાલા , પી.એસ.આઇ. એલ.સી.બી. તપાસમાં ફરિયાદી મહિલા ભાંગી પડતા નાટક ખુલ્યુંપોલીસની તપાસ દરમિયાન લૂંટ બાદ મહિલાએ બુમાબૂમ ન કરી હોવાનું જાણવા મળતા મહિલા ખોટું બોલતી હોવાનું જણાઇ આવ્યું હતું, જ્યારે મહિલાએ ઘટના ઘટ્યાના અડધી કલાક બાદ ફોન કર્યો હતો. સ્થળ ઉપર પોલીસે તપાસ કરતા હાજર લોકોએ લૂંટની ઘટના થઇ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાએ તેના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી તેના મિત્ર શ્રિધરને રૂપિયા આપેલ હતા.
જર્જરિત ઇમારત થઈ કડકભૂસ:શહેરના દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી
શહેરના દરબારી કોઠાર એરિયામાં વર્ષો જૂનું અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં રાજમહોમ્મદ અહેમદ શેખની માલિકીનું બહુમાળી મકાન આવેલું છે ઈમારત વર્ષો જૂની હોવાનાં કારણે મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ઇમારતને તોડી પાડવા મકાન માલિક તથા BMC દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2024માં આ દુકાનો જે ધરાશાયી થઇ છે તેને ખાલી કરાવવા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો અને હવે અમારી આ ચાર દુકાનો પાડી દીધી છે તેમ આજે આક્ષેપ કરતા જણાવ્યું હતુ. આ ચાર પૈકી ત્રણ દુકાન સ્કૂલ બેગ સહિતના રિપેરિંગની અને એક દુકાન મોટર રિવાઇન્ડિંગની હતી. આ મકાનમાં વર્ષોથી 5 ભાડુઆતો વસવાટ કરતા હોય આ મકાન તોડી પાડવાના નિર્ણયને ભાડુઆતોએ કોર્ટમાં પડકાર્યો હતો. દરમ્યાન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો મકાન ક્ષતિગ્રસ્ત થાય કે કોઈ જાનહાની સર્જાય તો ભોગ બનનારને વળતર તરીકે મકાન માલિક અને ભાડુઆતો દ્વારા 50 50 ટકા વળતર ચુકવવું. ગત મોડી રાત્રિના સમયે જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન જ સમગ્ર મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું અને કાટમાળ રોડ ઉપર આવી જતા રસ્તો બ્લોક થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ થવા પામી ન હતી. દરમિયાનમાં મ્યુ. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતુ કે આવા કેસમાં મકાનમાલિકે જ જર્જરિત મકાન ઉતારી લેવાનું હોય છે.
ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પ્રકૃતિનું અનોખું આકર્ષણ બની રહ્યું છે, પરંતુ હાલ વધતી જળવનસ્પતિ અને બેફામ રીતે ઊગી નીકળેલા ઘાસના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તળાવના મધ્યમાં આવેલો નાનો ટાપુ અનેક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાના માળા બાંધે છે, પ્રજનન કરે છે અને કુદરતી રીતે જીવનચક્ર આગળ વધારે છે. આ દ્રશ્ય વર્ષોથી પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિ આ કુદરતી સંતુલન માટે ખતરો સાબિત થઈ રહી છે. આ ઘાસ પાણીની સપાટી પર ઘન પડદો ઉભો કરી દે છે, પરિણામે માછલીઓ, કીડા-મકોડા અને અન્ય જળચર જીવસૃષ્ટિ માટે જીવવું મુશ્કેલ બની જાય છે. જળસૃષ્ટિમાં આવતી આ અસર સીધી રીતે પક્ષીઓના જીવન પર પણ પડે છે, કારણ કે તેમનો આહાર અને નિવાસ બંને આ જ તળાવ પર નિર્ભર હોય છે. વિક્ટોરિયા જંગલ સંસ્કૃતિ સચવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આ તમામ પ્રયત્નો છતાં, જો તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સમયસર સફાઈ નહીં કરવામાં આવે, તો આ સંરક્ષણના પ્રયાસો અધૂરા રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓનું માનવું છે કે ચોમાસા પહેલાં જ તાત્કાલિક પગલાં લઈ તળાવમાંથી વધારાની ઘાસ અને જળવનસ્પતિ દૂર કરવી જરૂરી બની ગઈ છે. જો આ કામગીરી સમયસર કરવામાં આવે, તો તળાવનું પાણી ફરી સ્વચ્છ બની શકે છે, જળચર જીવસૃષ્ટિને નવજીવન મળી શકે છે અને પક્ષીઓ માટે આ સ્થળ વધુ સુરક્ષિત બની શકે છે. સાથે સાથે, પાર્કની કુદરતી સુંદરતામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે શહેરના લોકો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બની રહેશે. આ રીતે, વિક્ટોરિયા પાર્કના સંરક્ષણ સાથે જો કૃષ્ણકુંજ તળાવની પણ યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે, તો આ વિસ્તાર માત્ર હરિયાળો જ નહીં પરંતુ પર્યાવરણપ્રેમીઓ માટે પ્રેરણારૂપ સ્થળ તરીકે પણ ઊભરી શકે છે, જ્યાં કુદરત અને માનવ વચ્ચેનું સંતુલન સ્પષ્ટ રીતે અનુભવાય છે. વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક પગલાંવિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ જાળવવા માટે પહેલેથી જ અનેક કડક પગલાં લેવામાં આવે છે. પાર્ક વિસ્તારમાં પ્લાસ્ટિક જેવા પ્રદૂષિત પદાર્થો લઈ જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિવિધ સ્તરે જંગલ અને પ્રાણીજીવનનું સંરક્ષણ કરાય છે, તે પગલા આવકારદાયક છે.
મંડે પોઝિટીવ:ગોહિલવાડ પોલો ક્લબે 5 વર્ષમાં તાલીમથી તૈયાર કર્યા 75 રાઈડર
ગોહિલવાડ પોલો ક્લબ છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં પોલો રમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. ક્લબ દ્વારા આયોજિત પોલો અવેરનેસ કેમ્પ્સના માધ્યમથી સુરત, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કુલ 75 જેટલા રાઈડર્સને તાલીમ આપવામાં આવી છે. ક્લબના માર્ગદર્શક જયવીરસિંહ ગોહિલ ગુજરાતના એકમાત્ર પ્રોફેશનલ પોલો પ્લેયર છે. હાલમાં પણ ભાવનગરના રાઈડર્સ રોજબરોજ પોલોની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે આ રમત પ્રત્યે વધતી રસપ્રદતા અને સમર્પણ દર્શાવે છે. ગોહિલવાડ પોલો ક્લબનો મુખ્ય હેતુ યુવાનોમાં પોલો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોફેશનલ સ્તરે પહોંચાડવાનો છે. જયવીરસિંહ ગોહિલ છેલ્લા 20 વર્ષથી ઘોડા સંબંધિત રમતો સાથે જોડાયેલા છે અને રાજ્યમાં પોલોની મજબૂત પાયાની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે. તેમનું સ્વપ્ન છે કે જેમ જયપુર, દિલ્હી, જોધપુર અને મુંબઈમાં પોતાની પોલો ટીમો છે, તેવી જ રીતે ગુજરાતની પણ પોતાની મજબૂત પોલો ટીમ ઉભી થાય. ગોહિલવાડ પોલો ક્લબના આ પ્રયાસોથી આવનારા સમયમાં ગુજરાત પોલો રમતના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કૃષિ વિશેષ:ડુંગળીના વાવેતરમાં રાજ્યમાં 2 જિલ્લાનો હિસ્સો 89.25%
ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર શરૂ થઇ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 65,800 હેકટરમાં થયું છે. આ વર્ષે ઉનાળુ વાવેતરમાં માવઠાનું નડતર છતાં વાવેતરની સ્થિતિ પ્રમાણમાં સારી છે. સાથે ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોય વાવેતર વધી રહ્યું છે. આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઇને ડુંગળીનું કુલ વાવેતર 9,300 હેકટરમાં થયું છે જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 8,300 હેકટરના 89.25 ટકા થાય છે એટલે કે બાકીના 10.75 ટકામાં સમગ્ર રાજ્યમાં ડુંગળીનુ઼ વાવેતર આવી જાય છે. ઉનાળુ વાવેતરની આગેકૂચ થઇ રહી છે. જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનુ઼ વાવેતર થઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 11,100 હેકટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 32,000 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 11,100 હેકટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 34.69 ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગેકૂચ કરી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 8,700 હેકટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ નંબરે છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર 18,600 હેકટરમાં થયું હોય એકલા ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રભરની 46.77 ટકા વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા 30,600 હેકટર મગફળીના વાવેતર સાથે નંબર વન જિલ્લો છે. ભાવનગર જિલ્લામાં જળાશયોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી 65,800 હેકટર થઇ ગઇ છે. જેમાં બાજરી, મગફળી, ડુંગળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર શા માટે જિલ્લામાં વાવેતર વધ્યું ?ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો હોવાથી ઉનાળા દરમિયાન તળાજા અને મહુવા વિસ્તારના કમાન્ડ વિસ્તારને સિંચાઈ માટે પુરતું પાણી આપી શકાશે. આ ઉપરાંત જ્યાં કેનાલો કે નહેરોની સુવિધા નથી એવા સિહોર, પાલિતાણા, વલ્લભીપુર, અને રંઘોળા સહિતના વિસ્તારોમાં બોર અને કૂવામાંથી સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે. એટલે આ વખતે ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે.
ભાવનગર શહેરમાં આજથી અંદાજે 147 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવેલી સર ટી હોસ્પિટલ આજે હજારો દર્દીઓ માટે જીવદોરી સમાન બની રહી છે, જ્યાં રોજિંદા ધોરણે ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી અને બોટાદ જેવા આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઉમટે છે. છતાં હોસ્પિટલની હાલત અને સંભાળ અંગે જવાબદાર તંત્ર તરફથી દેખાતી ઉદાસીનતા ચિંતાજનક બની છે. જ્યાં લાખો રૂપિયાનું ફર્નિચર વરસાદમાં પલળી જવાની ઘટના, બપોરે પણ ચાલુ રહેતી લાઈટ-પંખાઓના કારણે વીજળીનો બેફામ વેડફાટ, સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે પાણી ભરાવાની કાયમી સમસ્યા, એક્ઝોસ્ટ ફેન બંધ હોવાને કારણે દર્દીઓ બફારા અને ગરમીમાં પરેશાન, ફૂટપાથને બદલે લોકો મુખ્ય રોડ પર ચાલવા મજબૂર બનતા હોવા જેવી અનેક સમસ્યાઓથી દર્દીઓ અને તેના સંબંધીઓ પીડાઈ રહ્યા છે. લાખોના ફર્નિચરને કાટ લાગી જવાની ભીતિ જૂના બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં વિવિધ વિભાગો માટે મંગાવવામાં આવેલું લાખો રૂપિયાનું ફર્નિચર અઠવાડિયા જેટલા સમયથી પડેલું રહેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કબાટ, સ્ટેન્ડ અને ટેબલ સહિતનો સામાન બે દિવસ અગાઉ પડેલા વરસાદમાં પલળી જતા કાટ ખાઈ નુકસાનની ભીતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે આ જગ્યામાં બંને બાજુ છાપરું હોવા છતાં વચ્ચેનો ભાગ ખુલ્લો હોવાથી વરસાદનું પાણી સીધું ફર્નિચર પર પડતા તે ભીનું થઈ ગયું હતું. સર ટી. હોસ્પિટલમાં વીજળીનો બેફામ વેડફાટ: હોસ્પિટલના મલ્ટી સ્પેશિયાલિટી વિભાગની બહાર લગાડવામાં આવેલી લાઈટો બપોરના સમયે પણ ચાલુ રહેતી હોવાની સાથે વિવિધ વોર્ડ તરફ જતાં રસ્તાઓ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ રાખવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે વીજળીના સ્પષ્ટ દુરુપયોગ તરફ ઈશારો કરે છે, ખાસ કરીને જ્યારે સરકારી સંસ્થાઓમાં ઊર્જા બચત અને સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે ત્યારે આવી બેદરકારી ચિંતાજનક બની છે. સુપર સ્પેશિયાલિટીમાં પાણી ભરાવાની સમસ્યા: કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા સુપર સ્પેશિયાલિટી વિભાગ સામે બનાવાયેલા RCC રોડમાં ખાડો રહી જવાથી બે દિવસ પહેલા પડેલા વરસાદ બાદ આ ખાબોચિયું પાણીથી ભરાઈ ગયું હતું. એક્ઝોસ્ટ ફેન બંધ હાલતમાં: બફારા અને સફોકેશનમાં તડપતા દર્દીઓ જનરલ વોર્ડમાં લગાવવામાં આવેલા એક્ઝોસ્ટ ફેન સારી સ્થિતિમાં અને રિપેર થયેલા હોવા છતાં ચાલુ ન રાખવામાં આવતા દર્દીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જ્યાં એક તરફ ઉનાળો અને કમોસમી વરસાદના કારણે વધેલા બફારા અને અસહ્ય ગરમી વચ્ચે મોટા વોર્ડોમાં દર્દીઓ, સગા-સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફની હાજરીને કારણે ભીડ વધતી હોવાથી સફોકેશન જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ફૂટપાથને બદલે લોકો રોડ પર ચાલવા મજબૂર: હોસ્પિટલ વિસ્તારમાં રોડની બાજુમાં બનાવવામાં આવેલી ફૂટપાથો સારવાર માટે આવતા લોકોની સલામતી માટે હોવા છતાં ત્યાં પેવર બ્લોક્સ જેમના તેમ પડ્યા રહેતા માર્ગ અવરોધિત બની ગયો છે, જેના કારણે લોકોને મજબૂરીમાં વ્યસ્ત રોડ પર ચાલવું પડી રહ્યું છે જ્યાં ઇમર્જન્સી વાહનોની સતત અવર-જવર રહેતી હોવાથી અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, આ પરિસ્થિતિ તંત્રની બેદરકારીને ઉજાગર કરતી હોવાનું જણાઈ રહ્યું છે. પાર્કિંગ કરવા માટે રોજ થતી અથડામણો: હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તે અપૂરતી સાબિત થઈ રહી છે, જેના કારણે દરરોજ દર્દીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જે વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઘણી વખત આ પરિસ્થિતિમાં આવતા દર્દીઓ માટે પણ પાર્કિંગ ન મળતાં હાલાકી વધે છે, જે આરોગ્યસેવામાં અવરોધરૂપ બની રહી છે.. ઘણું ફર્નિચર ફાળવવાનું બાકી: હોસ્પિટલમાં આવેલું ફર્નિચર અલગ અલગ સમયે આવ્યું છે. એમાંથી થોડુંક ફર્નિચર ફાળવી દીધું છે. ત્યારે બાકી રહેલું ફર્નિચર લેપ્રસી હોસ્પિટલ ખાતે મોકલવાનું બાકી છે. - ડો. અશોક વાળા, સુપ્રિટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ
મતદારોનું સમીકરણ:જિલ્લામાં 8.87 લાખ મતદાર, વડોદરા તાલુકો 1.95 મતદારો સાથે સૌથી મોટો
વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના માળખામાં મતદારોની ભાગીદારી અત્યંત નિર્ણાયક બનશે. એસઆઈઆરની કામગીરી બાદના આંકડા અનુસાર, જિલ્લાના આઠ મુખ્ય તાલુકાઓ કરજણ, ડભોઇ, ડેસર, પાદરા, વડોદરા, વાઘોડિયા, શિનોર અને સાવલી મળીને કુલ 8,87,983 મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,52,864 અને મહિલા મતદારોની સંખ્યા 4,35,110 નોંધવામાં આવી છે. વડોદરા તાલુકો 1,95,637 મતદારો સાથે સૌથી મોટો મતવિસ્તાર છે, જ્યારે શિનોર તાલુકો 49,525 મતદારો સાથે સૌથી નાનો વિસ્તાર છે. ગ્રામીણ સ્તરે જોતા, વડોદરા તાલુકાનું સયાજીપુરા ગામ 8,094 મતદારો સાથે જિલ્લાનું સૌથી મોટું મથક બનીને ઉભરી આવ્યું છે. જ્યારે બીજી તરફ, શિનોરનું આનંદી ગામ સૌથી ઓછી એટલે કે માત્ર 2,423 મતદારોની સંખ્યા ધરાવે છે. આ આંકડાકીય માહિતી આગામી ચૂંટણીઓમાં વિવિધ પક્ષો માટે વ્યૂહાત્મક આયોજન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનિય છે કે, ભાજપ સિવાય વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. 8 તાલુકામાં કુલ 8.87 લાખ મતદારો વડોદરાના સયાજીપુરામાં સૌથી વધુ મતદારો શિનોરના આનંદીમાં સૌથી ઓછા મતદારો
ધનિયાવી રોડની ઘટના:પેટ્રોલપંપના સંચાલકોનો પૂર્વ કર્મચારી સહિત 3 પર હુમલો
શહેરના ધનિયાવી રોડ પર આવેલા પેટ્રોલ પંપના માલિકોએ પૂર્વ કર્મચારી પર 22 હજારની ઉચાપતનો આરોપ લગાવી રસ્તા વચ્ચે આંતરીને તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. વૈભવી કારમાં આવેલા 8થી 10 હુમલાખોરોએ કર્મચારી ઉપર કરેલા આ હૂમલામાં ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તરસાલી ચોકડી અને ધનિયાવી રોડ પાસે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ પૂર્વ કર્મચારી અને તેના સાળાને રસ્તામાં આંતર્યા હતા. ત્યારબાદ ધારીયા અને લાકડાના ડંડા વડે બેરહેમ માર માર્યો હતો. આ હુમલામાં એક યુવાનના બંને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. રાકેશભાઈ અશોકભાઈ રાવળ અગાઉ પુરંદર ફાર્મ પાસેના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ફીલર તરીકે ફરજ બજાવતા હતા. ગત શનિવારે તેઓ પુત્ર સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પંપ માલિક યુવરાજસિંહ ઉર્ફે અપ્પુ મહીડાએ પોતાની ફોર્ચ્યુનર કારથી તેમને આંતર્યા હતા. મહીડાએ ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેં પંપના ₹22,000 લઈ લીધા છે, તે પરત આપી દે નહીંતર મારી નાખીશ.’ રાકેશભાઈએ ઘરે પહોંચીને પોતાના સાળાને આ અંગે જાણ કરી હતી. તેઓ ધનિયાવી રોડ પર પાનના ગલ્લા પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓ લાલ રંગની BMW કાર લઈને ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા ટોળાએ હુમલો કરતા મેલાભાઈ સુખાભાઈ રાવલીયાને ગંભીર ઈજાઓ થતા SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલામાં રાકેશભાઈ અને તેમના સાળા ભરતભાઈ રાવળને પણ ઈજાઓ પહોંચી છે. કપુરાઈ પોલીસે રાયોટિંગ અને હથિયારબંધી ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવરાજસિંહ અપ્પુ મહીડા, રાજવીરસિંહ મહીડા, જયરાજસિંહ મહીડા, હંસરાજસિંહ મહીડા અને અન્ય 4-5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
ઠગાઈ:જમીનના દસ્તાવેજના બહાને રેલવે કર્મચારી સાથે 1.16 લાખની ઠગાઈ
પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસમાં ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા બ્રિજભુષણ સચ્ચિદાનંદ ચૌબેએ જમીન વેચાણ કરવા જતા ગઠિયાએ દસ્તાવેજો બનાવી આપવાના બહાને રૂા.1.16 ખંખેરી લેતા મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્રિજભુષણ ચૌબે(ઉ.વ.54)ની ફરિયાદ અનુસાર, તેઓ વાઘોડિયાના રાવલ ગામે આવેલ તેમનો પ્લોટ વેચવા માંગતા હતા, જે માટે તેમણે ઓનલાઈન પોર્ટલ પર જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈને અમદાવાદના વિશાલ ખટવાણી નામના વ્યક્તિએ પ્લોટ રૂા.1.50 કરોડમાં ખરીદવામાં રસ દાખવ્યો હતો. આરોપીએ જમીનના વેચાણ માટેના જરૂરી તમામ લીગલ દસ્તાવેજો પોતે બનાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયાના ખર્ચ પેટે આરોપીએ ફરિયાદી અને તેમની દીકરીના બેંક ખાતામાંથી જુદા-જુદા સમયે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કુલ રૂ. 1,16,500 મેળવ્યા હતા. આ રકમ એમ.ડી.એન્ટરપ્રાઈઝ, હર્ષ ક્રીએશન અને હરી ટ્રેડિંગ કંપની જેવા નામો ધરાવતા ક્યુ.આર. કોડ પર મોકલવામાં આવી હતી. નાણાં મેળવ્યા બાદ આરોપીએ દસ્તાવેજો બનાવી આપ્યા નહોતા અને ફરિયાદીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આરોપીના અમદાવાદના સરનામે તપાસ કરતા ત્યાં કોઈ ઓફિસ મળી આવી નહોતી. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા બ્રિજભુષણ ચૌબેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાવી છે. મિલકતના વ્યવહારમાં રાખવાની સાવચેતી
છાણીમાં સમસ્યાની સરવાણી:તળાવ-નાળામાં ગંદકી, સ્મશાન પરત આપવાનું વચન ભૂલાયું
છાણી ગામ વર્ષોથી પાલિકાની હદમાં છે, પણ હજીય શહેરીકરણના લાભ ગામને મળ્યા નથી. તળાવના બ્યૂટિફિકેશનનું નામ લઇ રૂા.18 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યો, જે પાણીમાં ગયો છે. આજે પણ ડ્રેનેજનાં ગંદાં પાણી રેલાતાં પાલિકા અટકાવી શકી નથી. જ્યારે નવીનીકરણના આટલાં વર્ષે પણ તળાવમાં પાણી ટકતું નથી. તળાવ કિનારે વોકવે, ગઝેબો અને કેટલાંક વૃક્ષોનો છાંયો લઇ શકાય છે, એ સિવાય તળાવની વિકાસ યાત્રા અટકી છે. છાણી તળાવ પાસે ન્યાસા કોમ્પ્લેક્સ પાસે એક બ્રિજ છે. તેની ફરતે જાળી છે પણ દેશી દારૂની હજારો પોટલીથી પુલ નીચેનો ભાગ ઢંકાઇ ગયો છે. રહીશો કહે છે કે, દારૂનાં ઠેકાણાં પોલીસ જાણે જ છે, ‘અગમ્ય’ કારણોસર દારૂના અડ્ડા બંધ કરવા પોલીસ ક્યારેય ફરકતી નથી. છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે રૂા.18 કરોડ ખર્યાયા, તળાવ ફરતે વોક-વે સહિતનાં કામો થયાં પણ તળાવ આજે પણ પાણી વિના સૂકુંભઠ છે. દિવ્ય ભાસ્કર સાથેની બેઠકમાં રહીશોએ કહ્યું કે, છાણીના નેતાઓ ગામમાં આંટાફેરા માર્યા કરે છે, પણ 6 મહિનાથી અધૂરા રસ્તા-ગંદકી દેખાતાં નથી. સ્મશાનનો વહીવટ જતો રહ્યો, નેતાઓથી કંઇ બોલાતું નથી. લોકોની વર્ષો જૂની દુકાનો દબાણના નામે તોડી ફૂટપાથ બનાવ્યા, હવે તેના પર બસો સહિતનાં ભારે વાહનો પાર્ક થાય છે. રહીશોની વાતથી એક સ્પષ્ટ સૂર ઊઠે છે કે, છાણી એટલે ભ્રષ્ટાચારના રસ્તા, તળાવ અને નાળા, બાકી વાતો એ તો વિકાસના નામે મત લેવાના ચાળા છે. ભૂખી કાંસનું નાળું પણ પૂરાઈ ગયું, બ્રિજ નીચેનાં ખેતરો પર ચોમાસામાં ખતરોછાણીમાં સ્મશાનની પાછળ ભૂખી કાંસનું નાળું કચરાથી પૂરાઇ રહ્યું છે. નાળું સાંકડું હોવાથી ચોમાસામાં પાણી ચારે તરફ રેલાય છે. બ્રિજ નીચેના ભાગમાં કાટમાળ એટલો ફેંકાયો છે કે, વડોદરા તરફ આવતું નાળું બંધ થઇ ગયું છે. સિસવા તરફથી આવતું પાણી અટકશે તો ચોમાસામાં ખેતરોના પાકને ખતરો થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. નાળા પર RCCનું કામ ટલ્લે, મારુતિ હાઇટ્સ પાસે કચરાપેટી જેવી સ્થિતિથી દુર્ગંધનું સામ્રાજ્ય
અલકાપુરીમાં શનિવારે 3 વર્ષનું બાળક કારમાં ફસાયું હતું. પિતા કારમાંથી નીકળ્યા બાદ પાછલી સીટ પર બેસેલા પુત્રને કાઢવા દરવાજો ખોલવા ગયા, પણ તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાવી કારમાં રહી જતાં દરવાજો લોક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડે કાચ તોડી 1 કલાકે બાળકને કાઢ્યો હતો. અમદાવાદના રહીશ પુત્ર સાથે કામસર વડોદરા આવ્યા હતા. તેઓ શનિવારે બપોરે 12 વાગ્યે અલકાપુરી પેટ્રોલપંપ સામેના મોલમાં ગયા ત્યારે ઘટના બની હતી. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યા પણ ન ખૂલતાં ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. લાશ્કરોએ કાચ તોડીને પુત્રને હેમખેમ બહાર કાઢ્યો હતો. શક્ય હોય તો ડુપ્લિકેટ ચાવી હાથવગી રાખવીકારનો દરવાજો અંદરથી લોક થઇ જાય અને બાળક હોય તો સામાન્ય સંજોગોમાં ઝડપથી કાચ તોડવો જોઇએ. કારણ કે એસી બંધ હોય ત્યારે બાળકની સલામતી સૌથી મોટી પ્રાયોરિટી હોય છે. આ અંગે ઓટો એક્સપર્ટ મનોજ ઠાકરે કહ્યું કે, તમે બે કારમાં પ્રવાસે નીકળ્યા હોવ તો એક કારની ડુપ્લિકેટ ચાવી બીજી કારમાં, એ રીતે ક્રોસ રાખવી જોઇએ.
ભાસ્કર એક્સક્લુસિવ:શહેરમાં 1 મહિનામાં નવાં 3653 પીએનજી જોડાણ અપાયાં, હજુ 4500 અરજી પેન્ડિંગ
1 મહિનાથી ચાલતા ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા ઊભી થઇ હતી. જેથી લોકો પાઇપ નેચરલ ગેસ તરફ વળતાં ગેસ જોડાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. દર મહિને અપાતા 1 હજારથી 1500 જેટલાં પાઇપ ગેસ કનેક્શન હાલ બમણાં થયાં છે. 1 મહિનામાં નવાં 3653 પાઇપ ગેસ કનેક્શન અપાયાં છે, જ્યારે 4500 જેટલી અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. યુદ્ધને પગલે રાંધણ ગેસની સમસ્યા સર્જાઈ હતી. માર્ચની શરૂઆતમાં ગેસ બોટલ માટે એજન્સીઓ પર લાઇનો લાગી હતી. બીજી તરફ સરકારે લોકો પીએનજી તરફ વળે તેવા પ્રયાસ કર્યા હતા. લોકો પણ બોટલની પળોજણમાંથી છૂટવા વીજીએલમાં પાઇપ લાઇન માટે અરજી કરી હતી. વીજીએલ દ્વારા એક મહિનામાં 3653 જોડાણ અપાયાં છે. જ્યારે કોમર્શિયલ લાઇન મેળવનારની સંખ્યા 1 મહિનામાં 48 થઈ છે. શહેરમાં આ પહેલાં 3030 કોમર્શિયલ ગેસ જોડાણ હતાં. અત્યારે 38 કિમીનું નવું નેટવર્ક નખાયું છે. પહેલાં 4473 કિમી જેટલું નેટવર્ક હતું. વોર્ડ કચેરીથી ગેસ જોડાણની કામગીરી ચાલુપહેલાં ગેસ કંપનીની ઓફિસ પરથી જ કનેક્શન માટેની કામગીરી કરાતી હતી. જોકે હવે દરેક વોર્ડ ઓફિસ પરથી આ કામગીરી કરાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વીજીએલે તેમનો સ્ટાફ પણ વધાર્યો છે, જેને પગલે કામગીરી ઝડપી થઇ શકે. બિલિંગ કાઉન્ટરોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
ગોત્રીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તેનાં માતા-પિતાએ સિલાઈ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા વિશે એક વ્યક્તિએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સગીરા નાની હોવાથી તેનાં માતા-પિતા તેને સિલાઈ મશીન લઈ આપતાં નહોતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પહોંચાડી હતી. ઉપરાંત તેને સરકારી સહાય યોજનામાં સિલાઈ મશીન કેવી રીતે મેળવી શકાય તે બાબતે પણ જાણકારી આપી હતી. ગોત્રીની સગીરાએ ભણવાનું છોડીને સીવણ ક્લાસ શરૂ કર્યા હતા. પોતે પગભર થવા તે સિલાઈ મશીન લેવા માગતી હતી. જોકે તેનાં માતા-પિતાએ દીકરીને મશીન લઈ આપવાની ના પાડી દીધી હતી. ઉપરાંત તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન પણ નક્કી કરી દીધાં હતાં. તેની માતાએ તેને કહ્યું કે, સાસરીમાં જઈને મશીન લેજે. સગીરાએ ઘણી જીદ કરી પણ માતા-પિતાએ મશીન ન લઈ આપતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન સ્ટેશન પાસેના રોડ પર સવારથી સગીરા બેસી રહેતાં નજીકના દુકાનદારે અભયમને જાણ કરી હતી. જેથી અભયમની ટીમ સગીરા પાસે પહોંચતાં તેણે પોતાની તકલીફ જણાવી હતી. તે પછી માતા-પિતાનો ફોન દ્વારા સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, દીકરી નાની હોવાથી મશીન નથી લઈ આપતાં. જેથી અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જોકે સગીરાએ જીદ પકડી કે, જ્યાં સુધી મશીન નહીં લઈ આપે ત્યાં સુધી ઘરે નહીં જાય. આખરે અભયમે સગીરાને સરકારી સહાય યોજના વિશે માહિતી આપી હતી, જેના દ્વારા તે મશીન લઈ શકે છે. સગીરાને યોજના વિશે સમજણ આપીને ફોર્મ પણ ભરાવી આપ્યું હતું. જેથી સગીરાને વિશ્વાસ આપ્યો કે, તેનું મશીન આવી જશે. જે બાદ તે ટીમ સાથે ઘરે પહોંચી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સગીરાને માતા-પિતાને સોંપીસગીરા નાનપણથી જ પોતાનાં મામા-મામી સાથે રહેતી હતી. જોકે તે થોડા સમયથી માતા-પિતા સાથે રહેવા ગઈ હતી. ઘટના વિશે મામા-મામીને પણ જાણ કરાઈ હતી. જેથી મામા-મામી સગીરાની જવાબદારી લેવા તૈયાર હતાં. જોકે સગીરા માતા-પિતાના ઘરે જવા માગતી હોવાને કારણે અભયમે સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી.
પોલીસ રેડ:મગદલ્લામાં દારૂની મહેફિલની તૈયારી કરતી થાઇલેન્ડની યુવતીઓ પોલીસના સકંજામાં
મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની 5 યુવતીઓ રવિવારે મધરાતે દારૂની મહેફિલ જમાવે તે પહેલા પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની બોટલ સહિત 5 પ્રતિબંધિત ઈ-સિગારેટો મળી આવી હતી. આ મામલે ઉમરા પોલીસે થાઇ યુવતી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મગદલ્લા ગામે રહેતી થાઇલેન્ડની યુવતી દારૂની બોટલ અને ઈ-સિગારેટ સાથે એલસીબી ઝોન-4ના સ્ટાફે રવિવારે મધરાતે પકડી પાડી છે. યુવતીનું નામ ફાવિની ખેમ્નુઅન કોંગસેનકમ છે અને તે મગદલ્લા ગામે ભાડેના મકાનમાં રહે છે. એલસીબી ઝોનના સ્ટાફે આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે થાઇલેન્ડની યુવતી સામે પ્રોહિબિશન અને ઈ-સિગારેટનો ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે મગદલ્લામાં વિધવાના મકાનમાં ભાડેથી રહેતી થાઇલેન્ડની યુવતી પાસેથી 5 ઈ-સિગારેટો અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે સમયે પોલીસે ઘરમાં રેડ કરી ત્યારે અન્ય 5 થાઇ યુવતીઓ બેઠેલી હતી. થાઈ યુવતીઓ દારૂની મહેફિલ શરૂ કરવાના હતા. આ પહેલા જ પોલીસે રેડ કરી હતી. હવે પોલીસ દારૂની બોટલ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો બુટલેગરનું નામ સામે આવી શકે તેમ છે. મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની યુવતીઓના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ યુવતીઓ જાહેર રસ્તાઓ પર ટૂંકા વસ્ત્રો પહેરી ખુલ્લેઆમ ઈ-સિગારેટના દમ મારતી હોય છે
ચૂંટણીમાં AIનો દુરપયોગ:પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને હથકડી પહેરાવેલો ફોટો વાઇરલ, ગુનો દાખલ
પાલિકાની ચૂંટણી પહેલા જ ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાર્યો છે. ગોડાદરામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખે સોસીયલ મીડિયામાં બે મિનીટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે અમિત રાજપૂતની બદનામી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આપના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોષી સામે ગુનો દાખલ કર્યો છે. વીડિયો AIથી બનાવવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નેતાજી પ્રેમ વિવાદ મેં ફસે, પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી, વકીલ પર હુમલો જેવી ઓડિયો ક્લિપ બનાવી આપ નેતાનું બીપી લો થતા હોસ્પિટલમાં દાખલઆમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોષીને ગોડાદરા પોલીસે શનિવારે નોટીસ મોકલી રવિવારે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. રવિવારે શ્રવણ જોષી પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે પૂર્વ કોર્પોરેટરનો વીડિયો બાબતે પૂછપરછ શરૂ કરી ત્યારે કેટલાક સવાલોના જવાબ આપવામાં શ્રવણ જોષીનો પસીનો છુટ્ટી ગયો હતો. પછી અચાનક શ્રવણ જોષીનું બીપી લો થતા તબિયત લથડી હતી. આથી પોલીસે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ છે. હાલમાં શ્રવણ જોષી હોસ્પિટલમાં પોલીસની નિગરાનીમાં છે.
શહેરના બાંધકામ ક્ષેત્રમાં જેમની પાયાની ભૂમિકા છે એવા સિવિલ ઇજનેર, આર્કિટેક્ટ અને કોંક્રિટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના ક્ષેત્રમાં ભારે બળાપાની સ્થિતિ છે. હાલમાં ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે પરંતુ પ્રશ્નો વણ ઉકેલ્યા છે. કાયદામાં જેનો ઉલ્લેખ નથી એવી બાબતોની એફિડેવિટ અને રાજ્યમાં સુરત સિવાય ક્યાંય મંગાતા નહીં હોય એવા કાગળો રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે દિવ્ય ભાસ્કર ટોક શોમાં ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જાબીર ચોકસી, વિજય ભટ્ટ, કમલેશ વૈષ્ણવ, હિરેન દેસાઈ, અમિત વાઘાણી, બલદેવ માઘવાણી, નરેન્દ્ર કોટડીયા, નિલેશ પટેલ, સુરેશ પટેલ, મહેશ સાવલીયા, મનિષ ગજજર, આશિષ માંજરાવાલા સહિતના સભ્યો જોડાયા હતા. સુરતમાં 2017માં બનેલો ડેવલપમેન્ટ પ્લાન વર્ષ 2026માં પણ ફાઇનલ થયો ન હોવાનો સૂર વ્યક્ત કરાયો પરમિશન સિસ્ટમ: ઓનલાઈન સિસ્ટમ હોવા છતાં ઓફલાઇન કાગળ મંગાય છેપ્લાનની ઓનલાઈન પરમિશન સિસ્ટમ છતાં પાલિકા દ્વારા ઓફ લાઈનમાં તમામ કાગળો મંગાય છે જે ઊચિત નથી. આ બંને પ્રક્રિયામાં 40 ટકા કપાતનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ટી.પી.ઓ. દ્વારા પ્લોટ એલોટ કરાયાના 25 વર્ષ બાદ જનરલ કપાત માટે જણાવી દેવાતા કંઈ રીતે આપી શકાય એ પ્રશ્ન છે. પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ દર વર્ષે લેવાની જોગવાઈમાં સુધારાની જરૂર છે. સરકારે આ માટે એસઓપી (SOP) બનાવવાની જરૂર છે. ટાઉન પ્લાનિંગ: મંજૂરી પ્રક્રિયા લાંબી, સુધારાની કલમ 19 ધંધો બની ગયો છેટાઉન પ્લાનિંગમાં મંજૂર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ખુબ લાંબી છે. એમાં પણ કલમ 19 હેઠળ વારંવાર સુધારા ખરેખર એક ધંધો બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સુરતમાં વર્ષ 2017માં બનેલો વિકાસ પ્લાન આજે વર્ષ 2026માં પણ ફાઇનલ થયો નથી. સુધારાના નામે થતો ખેલ બંધ થવો જોઈએ. ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં પણ ડી.પી.ના નકશા આપી દેવાય છે જેને કારણે પ્લાન પાસ થતા નથી. બે દિવસ પૂર્વે જ ફરી સુધારા માટે દરખાસ્ત થઈ છે. લાયસન્સ સસ્પેન્શન: આગના બનાવમાં ઇજનેરો, આર્કિટેક્ટ બલિનો બકરોબિલ્ડિંગોમાં આગના બનાવોમાં પણ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બરની જવાબદારી નક્કી કર્યા વિના આર્કિટેક્ટ અને એન્જિનિયરને બલિનો બકરો બનાવી લાયસન્સ 6 મહિના કે કાયમ માટે સસ્પેન્ડ કરાય છે. ફાયર કન્સલ્ટન્ટના લાયસન્સ પણ કાઢી નખાયા છે. પાલિકા ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપ્યા વિના લાયસન્સ કાયમ માટે પણ સસ્પેન્ડ કરી દે છે. જ્યાં અમારી ભૂમિકા જ નથી ત્યાં પગલાં લેવાઈ રહ્યા છે. ઇમ્પેક્ટ ફીનો કાયદો: ગેરકાયદે બાંધકામ કરનારા હવે બેખોફ બની ગયા છેરાજ્ય સરકારે તત્કાલ ઇમ્પેક્ટ ફીનો કાયદો સમાપ્ત કરવો જોઈએ. ગૃડાનું નોટિફિકેશન પહેલાં છ મહિનાનું હતું આજે ચોથા વર્ષે પણ ચાલુ છે. ઇમ્પેક્ટ ફી દર વર્ષે રિપિટ કરવાને કારણે જ ગેરકાયદે બાંધકામ કરનારાઓ બેખૌફ થઈ રહ્યા છે. બાંધકામ કરો અને ફી ભરીને રેગ્યુલરાઈઝ કરી દો એ ચલણ બની ગયું છે. એસેસમેન્ટ અને પ્લાન પાસ કરવાના સમયે જ શા માટે ચોકસાઈ રખાતી નથી એ પ્રશ્ન છે. બિલ્ડિંગ બાયલોઝને પાંગળો બનાવાઈ રહ્યો છે... ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે બિલ્ડિંગ બાયલોઝને નબળો પડાઈ રહ્યો છે. નેશનલ બિલ્ડિંગ કોડને ડાયલ્યુટના નામે સુધારા કરાઈ રહ્યા છે. એન.ડી.સી.ના આધારે બાયલોઝ બનતા હતા, જે ગીતા સમાન હતા એ નબળા પડતાં હવે બાયલોઝ કંઈ રીતે બનશે એ પ્રશ્ન છે.
2020માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટર લાઈન માટે 3 વર્ષથી ચાલતી કવાયત કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને કારણે રોકી દેવાઈ છે. મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ અને વાલકમાં STP બનાવી લાઇન નાખવા 1200 કરોડના ટેન્ડર સોંપવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. STPમાં ટ્રીટ થઇ જળાશયોમાં છોડાતા પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)ના માપદંડ હવે 5ને બદલે 10 રાખવાની સૂચના મળતાં ટેન્ડર સ્ક્રેપ કરી દેવાયા છે. ઉપરાંત નદીમાં જતું પાણી પહેલાં કરતા થોડું ઓછું શુદ્ધ થશે. સ્માર્ટ સિટી સુરતમાં નદી શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ માટેની કામગીરીમાં મોટો વળાંક આવ્યો છે. ભાસ્કર એક્સપર્ટખર્ચ તો ઘટશે પણ લાંબા ગાળે નદીમાં જૈવિક કચરો વધી શકે છેડો. પંકજ ગાંધીએ કહ્યું કે, ખર્ચ ઘટશે કેન્દ્રના ધોરણો સાથે સુસંગતતા હોવાથી ગ્રાન્ટ મેળવવામાં સરળતા પણ રહેશે. પાણીને વધુ શુદ્ધ કરવા વધુ વીજળી અને કેમિકલ્સ જોઈએ છે, જેથી હવે નદીમાં છોડાતું પાણી થોડું ઓછું શુદ્ધ થશે. નદીને શુદ્ધ રાખવા માટે BOD 5 મુજબ STP બનાવાતા હતાડ્રેનેજ વિભાગના ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, સરકારની સૂચના મુજબ હવે BOD 5ને બદલે 10 રાખી તે માત્રા પ્રમાણે જ નવા STP બનાવવા, જેથી હાલ ટેન્ડર રોકી હવે નવેસરથી બહાર પડાશે.’ ઉલ્લેખનીય છે કે, નદીને વધુ શુદ્ધ રાખવા અત્યાધુનિક ટેકનોલોજીનો આગ્રહ રખાતાં ખર્ચ વધતો હતો.
સવારનો સમય છે, તમે શાંતિથી ચા પી રહ્યા છો અને અચાનક તમારા વીડિયો કોલ આવે છે. સ્ક્રીન પર દેખાય છે મુંબઈ ક્રાઇમબ્રાંચ કે CBIની ઓફિસ, પાછળ ભારત સરકારનો લોગો છે અને ખાખી વર્દીમાં બેસેલો ઓફિસર કહે કે તમારા નામે MD ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે. તમે ડિજિટલ એરેસ્ટ છો. કેમેરો બંધ ન કરતા, નહીંતર પોલીસ ઘરે આવશે. આ રીતે ડરાવી સુરત સહિત દેશભરમાં લાખો વૃદ્ધો પાસેથી કંબોડિયામાં બેઠેલી ચાઇનીઝ ગેંગે કરોડો પડાવ્યા છે. કંબોડિયામાં આ ગેંગની ટ્રાન્સલેટર મૂળ હૈદરાબાદની યુવતીને સુરત સાઈબર ક્રાઈમે પકડી તો આ આંતરરાષ્ટ્રીય રેકેટ ખુલ્યું હતું. કંબોડિયામાં ભવ્યો ઓફિસોમાં ભારતની CBI-ઇડીની કચેરી, સુપ્રીમ કોર્ટ, મુંબઈ ક્રાઇમબ્રાંચના ફિલ્મી સેટ બનાવાયા છે. બેકગ્રાઉન્ડમાં નકલી જજ-વકીલો. પોલીસ કચેરીમાં નકલી અધિકારી તો CBI/EDમાં ફાઇલના ઢગલા છે. આથી વૃદ્ધો વર્દીમાં અધિકારીઓને જોઈ ડરી જાય છે અને રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. આબરું જવાનો ડર બતાવી લૂંટએકલા રહેતા વડીલોને કાયદાનો ડર બતાવી કલાકો સુધી વીડિયો કોલ પર ‘કેદ’ કરાય છે. પછી ફિલ્મીઢબે ધમકી અપાય છે કે તમારી આબરું એક મિનિટમાં ધૂળમાં મળી જશે., બચવું હોય તો રૂપિયા ટ્રાન્સફર કરો. કોઈને પણ કહ્યું તો જેલમાં જશો. 1 વર્ષમાં 4 વડીલોને ઉગારાયાશહેરમાં 2024-2025માં નોંધાયેલા તમામ 15 ગુના ઉકેલ્યા છે, જેમાં પોલીસે 50ને સળિયા પાછળ ધકેલ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 4 લોકોને ડિજિટલ અરેસ્ટથી બચાવ્યા છે, જેમાં 3 વૃદ્ધો છે. તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા 2 કરોડ બચ્યા છે.
સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ 15-20 વર્ષથી લાપતા હતા. પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના પડતર કેસોના રેકોર્ડ, રજિસ્ટર અને દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા છેડેથી તપાસ શરૂ કરી, ત્યારે જઈને આ લોકો મળી આવ્યા છે. દર મહિને વધી રિકવરી નોંધ: ડિસેમ્બરમાં શોધાયેલા લોકોમાં 41 બાળકો, 53 પુખ્ત વયનાનો સમાવેશ છે. ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા લઈને ‘મિશન મિલાપ’ શરૂ કરાયુંડીજીપીએ ઓપરેશન મુસ્કાનની શરૂઆત કરી હતી, જેના પરથી પ્રેરણા લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ શરૂ કર્યું હતું. તેમણે 2007થી ગુમ થયેલા 4500 લોકોનો ડેટાબેઝ બનાવી જૂના રેકોર્ડ ફરીથી તપાસ્યા હતા. ટેકનોલોજીથી લોકેશન ટ્રેસ કરાયાંપોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સતત ઉપયોગ કરે છે. પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને આધાર ડેટાથી પણ લોકેશન ટ્રેસ કરાયાં છે. - કરણરાજ વાઘેલા, એડિ. સીપી લોકેશન ટ્રેસ કરીને શોધખોળપોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ટીમો મોકલીને ગુમ થયેલા લોકોની શોધ કરી. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ, સરપંચ અને ગામના પ્રતિનિધિઓના સંપર્ક દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવી પડે છે. સ્ટેશન પર આવતી ટ્રેનોને ઘણીવાર આઉટર પર 15થી 20 મિનિટ વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. નવી લાઇન શરૂ થતા ટ્રેનો ગેરતપુરથી સીધી સાણંદ નીકળી જશે, જેથી કાલુપુરમાં ભારણ ઘટશે. નવી લાઇનથી ટ્રેનના રૂટમાં 12 કિમીનો ઘટાડોપેસેન્જરોની ભીડ અને ટ્રેનોના ટ્રાફિકને કારણે કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ક્લિયરન્સ મેળવવામાં ટ્રેનોને આઉટર પર લાંબો સમય ઊભી રાખવી પડે છે. નવી બાયપાસ લાઇન શરૂ થતા ટ્રેનોને કાલુપુર લાવ્યા વગર સીધી જ પસાર કરી દેવાશે, જેના પરિણામે ટ્રેનોના રૂટમાં 12 કિમીના અંતરનો ઘટાડો થશે. આ ફેરફારથી સ્ટેશન પરના ટ્રાફિક વેઇટિંગ અને વધારાના કિલોમીટર ઘટતા મુસાફરી સમયમાં 45થી 60 મિનિટની સીધી બચત થશે. મુસાફરો સાબરમતી કે સરખેજથી ટ્રેન પકડી શકશે 59 કિમીની બાયપાસ લાઇનનું કામ બે તબક્કામાં થશે
લ્યો બોલો!:ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ તે જ દિવસે મનપાએ 15 ટેન્ડર વેબસાઈટ પર ચડાવ્યા!
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હાલ આચારસંહિતા હોવાથી મનપા કોઇ કાર્યક્રમો ન કરી શકે તેમજ ટેન્ડર પણ બહાર પાડી ન શકે. જોકે મનપામાં બધાને અણસાર તો હતો જ કે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને લઈને મનપાએ ટેન્ડર તૈયાર કરીને જ રાખ્યા હતા અને ચૂંટણી જાહેર થવાની જ રાહ જોવાતી હતી. ચૂંટણી જાહેર કરવા માટે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ત્યાં તુરંત જ મનપાએ ધડાધડ વેબસાઈટ પર ટેન્ડર ચડાવવાના ચાલુ કરી દીધા હતા અને કલાકોમાં જ નવા 15 ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ 15 ટેન્ડરમાં આવાસ યોજનાના ટેન્ડર છે જે અગાઉથી જ નક્કી હતા. આ સિવાય અલગ અલગ વિસ્તારો ખાસ કરીને માધાપરમાં કાચા રોડ પર મેટલિંગકામ કરવાના ટેન્ડર, વિવિધ રોડ પર પેવર બ્લોકના કામનું ટેન્ડર, ટોઈલેટ બ્લોક બનાવવાનું કામ, સિમેન્ટ રોડ બનાવવાના કામ, બાયો મેડિકલ વેસ્ટ અંગેનું ટેન્ડર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ ટેન્ડરની છેલ્લી તારીખ 20 તારીખની આસપાસ છે એટલે કે મતદાન પહેલાં જ ટેન્ડરની તારીખ પૂરી થાય છે. ત્યારબાદના 10 દિવસ સુધીમાં અધિકારીઓ મોટાભાગની કામગીરી પૂરી કરી લેશે. નવી બોડી આવતા વેંત જ કરશે નવા ટેન્ડરનો ‘વહીવટ’ટેન્ડર બાદ કામ શરૂ કરવાની વહીવટી મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં મળે છે. ત્યારબાદ જ એજન્સી કામ ચાલુ કરી શકે છે. હાલ અધિકારીઓએ ટેન્ડરની લાઈન કરી દીધી છે અને નવી બોડી આવશે એટલે તેનું લિસ્ટ તૈયાર થઈ જશે અને ત્યારબાદ દરખાસ્ત બનશે. સ્ટેન્ડિંગ કમિટીની રચના થશે એટલે તુરંત જ આ દરખાસ્તોને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને મંજૂરી અપાશે. આ વહીવટ થઈ ગયા બાદ હવે નવા કામ શરૂ કરી શકાશે.
કથિત પત્રકાર ભાવેશ વણવીના હત્યા કેસમાં બનાવના 20મા દિવસે પોલીસે જેમાં યુવાનનું અપહરણ કરાયું હતું તે કાર રવિવારે સાંજે શીતલ પાર્ક પાસે ખાનગી પ્લોટની બહાર આવેલી અવાવરું જગ્યામાંથી જપ્ત કરી હતી. આરોપી હમીર જોગરાણાએ કારની સાફ સફાઈ કરી તેને ઢાંકીને રાખી દીધી હતી. પોલીસને કારમાં લોહીના ડાઘ હોવાની શંકા જણાતા FSLની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત, આરોપીએ કારની નંબર પ્લેટ કાઢી સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્લોટની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 20 દિવસ પૂર્વે બનેલા ભાવેશ વણવી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા તેમજ દેવકરણ સિંધા મીરને કસ્ટડીમાં લઇ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપી હમીરે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર ક્યાં છુપાવી રાખી હતી તે અંગે મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી હતી. કબૂલાત મુજબ, બનાવ બાદ આરોપીએ સ્વિફ્ટ કારને શીતલ પાર્ક નજીક આવેલી એક 12 માળની ઇમારત પાસે આવેલા ખુલ્લા પ્લોટની બહાર અવાવરું જગ્યાએ સંતાડી મૂકી હતી. કારને લોકોની નજરે ન પડે તે માટે બ્લૂ કલરના કવરથી ઢાંકી દેવામાં આવી હતી અને બસની વચ્ચે રાખવામાં આવી હતી. પોલીસે FSLની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં લોહીના ડાઘ હોવાની શક્યતા વ્યક્ત થતા વૈજ્ઞાનિક તપાસ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. હત્યા પહેલા ભાવેશ વણવીને માર મારી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યો હતો, જેના આધારે કાર મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ કારને સંપૂર્ણ રીતે ધોઈ સાફ કરી દીધી હતી અને નંબર પ્લેટ કાઢી અલગ મૂકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, પોલીસ ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સાધનોની મદદથી પુરાવા એકત્રિત કરવા પ્રયત્નશીલ છે. હાલમાં આરોપીને આગામી 7 તારીખ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. 20 દિવસ સુધી કાર ખુલી જગ્યાએ પડી રહી છતાં તે પોલીસના ધ્યાનમાં ન આવી?15 માર્ચે બનેલા હત્યા કેસમાં મુખ્ય આરોપી 3 એપ્રિલે પકડાયો, પરંતુ આ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર શહેરમાં જ અવાવરું જગ્યાએ ઢાંકીને રાખવામાં આવી હતી. 20 દિવસ સુધી કાર પોલીસના ધ્યાનમાં કેમ આવી નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. આરોપી શહેરમાં જ હતો કે નહીં તેમજ કાર ક્યારે મુકાઈ તે અસ્પષ્ટ છે. પોલીસે હવે સીસીટીવી તપાસ શરૂ કરી છે, પરંતુ મોડું પગલું ગણાઈ રહ્યું છે. દરમિયાન આરોપીએ કાર ધોઈ અને નંબર પ્લેટ દૂર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તપાસની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓ વિચિત્ર સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સોસાયટીની સામે જ આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ સડેલા શાકભાજીનો કચરો અહીં જ ઠાલવી રહ્યા હોવાથી રંગ ઉપવન સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ અને રંગબેરંગી કચરાથી થાકી ગયા છે. ન્યૂસન્સ પોઇન્ટ તરીકે ઊભરી આવેલા આ સ્થળ પરથી કચરો હટાવવા થોકબંધ ફરિયાદો કરવા છતાં પણ કોર્પોરેશન નક્કર પગલાં લઇ શકતું નથી. એરપોર્ટ રોડ પર છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે પણ આવી જ સ્થિતિ છે. અહીં કચરાના ઢગલા ખડકાવવાની સાથે દરરોજ ગેરકાયદેસર રીતે ભરાતી ગુજરી બજારમાં ભંગારના ધંધાર્થીઓ હનુમાનમઢી ચોકથી લઇ રંગ ઉપવન સોસાયટીના ગેટ સુધી રસ્તો જામ કરી દેતા હોવા છતાં પણ ન તો મહાનગરપાલિકા કે ન તો પોલીસ એક્શન લેતી ન હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો હવે તો ફરિયાદ કરી-કરીને પણ થાક્યા છે. ખાસ કરીને રંગ ઉપવન સોસાયટી પાસે કચરાના ઢગલા ખડકાતા હોવા છતાં કોર્પોરેશન તંત્ર અહીં કચરો ફેંકતા તત્ત્વો સામે પગલાં લેવાને બદલે ઉકરડાના સ્થળે સિમેન્ટના પાકા પ્લેટફોર્મ જેવી સુવિધા ઊભી કરી દીધી છે.
રાજકોટ શહેર નજીક ફળઝાડના હેતુ માટે કિંમતી સરકારી જમીન મેળવી લીધા બાદ સરકારના જમીન ફાળવણીના નિયમ મુજબ આવી જમીનમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવતું ન હોવાથી તાજા ભૂતકાળમાં ત્રણેક આસામીઓ સામે શરતભંગના પગલાં લઇ આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો. જે પૈકી રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે ફળઝાડના હેતુ માટેની જમીનમાં પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી શ્રીસરકાર થયેલી જમીન બચાવવા અપીલ કરનાર આસામીની અપીલ જિલ્લા કલેક્ટરે ફગાવી દઈ મદદનીશ કલેક્ટરનો હુકમ યથાવત્ રાખ્યો હતો. આ કેસમાં ફળઝાડના હેતુ માટે જમીન મેળવનાર આસામીએ છ એકર જમીન બચાવવા વૃક્ષ ન ઉછેરવા માટે ક્લાઇમેટ ચેન્જનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ કલેક્ટરે આ બહાનાને ફગાવી દીધું હતું. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામના રેવન્યુ સરવે નંબર 253 પૈકી 1ની 6 એકર જમીન વર્ષ 1970માં નાયબ કલેક્ટર રાજકોટ દ્વારા 30 વર્ષ માટે ફળઝાડ ઉછેરના હેતુ માટે લાભચંદ દેવચંદ કોટકને નવી અને અવિભાજ્ય શરતે ફાળવી હતી.જેમાં મૂળ લાભાર્થીના અવસાન બાદ ચાર વારસદારના નામે જમીન વારસાઈ કરી છેલ્લે ચંદ્રકાન્ત લાભચંદ કોટકના નામે આવેલી છે. આ જમીનમાં નિયમ મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું ન હોવાની સાથે ભાડાપટ્ટાની મુદત પણ પૂર્ણ થઇ હોય મદદનીશ કલેક્ટર રાજકોટ સિટી-2 દ્વારા શરતભંગના પગલાં લઈ વર્ષ 2025માં સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે લાભાર્થીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી વૃક્ષની ઓછી સંખ્યા મામલે ક્લાઇમેટ ચેન્જની અસર તળે વૃક્ષ બળી ગયા હોવાનું તેમજ કેળા અને પપૈયાના વૃક્ષ બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું અને ઝેરી અસર તળે અન્ય ઝાડ સૂકાઈ ગયાની દલીલ કરી હતી. જોકે જિલ્લા કલેક્ટરે છ એકર જમીનમાં નિયમ મુજબ 2021 વૃક્ષને બદલે માત્ર 448 વૃક્ષનું જ વાવેતર હોય મદદનીશ કલેક્ટરના હુકમને યથાવત્ રાખી જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. ફળઝાડના હેતુ માટે એક એકરે 335 વૃક્ષનું વાવેતર કરવું પડેસરકાર દ્વારા ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવતી સરકારી જમીનમાં નિયમ મુજબ પ્રતિ એક એકરમાં ફળઝાડના 200 અને ઇમારતી પ્રકારના 135 વૃક્ષ વાવેતર કરવાનો નિયમ છે. જે નિયમ મુજબ પ્રસ્તુત કેસમાં છ એકર જમીનમાં નિયમાનુસાર 2021 વૃક્ષ વાવવાને બદલે ભાડાપટ્ટે જમીન રાખનારે માત્ર 448 જ વૃક્ષ વાવ્યા હોવાનું પંચરોજકામમાં સામે આવ્યું હતું. ભાડાપટ્ટેદારે વૃક્ષ બળી જવા પાછળ જમીનમાં મુંડા આવી જવા, કુદરતી સુકારો, વાવાઝોડું, ઉંદર જવાબદાર હોવાની પણ અપીલ કેસ દરમિયાન દલીલ કરી હતી.
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્રએ મોટા-મોટા બણગા ફૂંક્યા હતા પરંતુ, આજે પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોનો આક્રોશ એ હદે વધી ગયો છે કે, તેઓ હવે કહેવા લાગ્યા છે — કાડીયાવાડમાં હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે, કારણ કે સામાન્ય નેતાઓ અને તંત્ર તેમની વેદના સમજતા જ નથી. જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા તપાસવા જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અત્યંત ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. શું મકાન માલિકોને ભાડામાં રસ અને તંત્રને જાનહાનિની રાહ?કડિયાવાડ શાક માર્કેટમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં અડીખમ ઉભી છે. નાની અને સાંકડી ગલીઓમાંથી હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર આ ઇમારતોના પોપડા અને લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિધાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં જ રસ છે અને તંત્રને કદાચ કોઈ મોટી જાનહાનિની રાહ જોવી હોય તેમ લાગે છે. 'હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે, કદાચ એ અમારી વેદના સમજે'કડિયાવાળમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જે છેલ્લા 63 વર્ષથી બેલદાર શેરીમાં રહે છે, તેઓ આક્રોશ સાથે જણાવે છે કે કડિયાવાડમાં હાલના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. આઠ-આઠ મહિના વીતી જવા છતાં ગટર, પાણી કે રોડના કામો થતા નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમારે અહીં કોઈ રાજકીય નેતા નહીં પણ કિન્નરોને ચૂંટણી લડાવવી છે કારણ કે કદાચ તેઓ અમારી વેદના સમજશે. ચંદ્રેશભાઈ પોપટ જે મકાનમાં રહે છે તે અતિ જર્જરિત છે અને તેઓ પોતે આ બિલ્ડિંગ ઉતારી લેવા તૈયાર હોવા છતાં ભાડૂઆતો ખાલી કરતા નથી. તેઓ ભય વ્યક્ત કરતા કહે છે કે જો મનપા કમિશનર રૂબરૂ આવીને કડક હુકમ નહીં કરે, તો એક દિવસ તેઓ પોતે જ આ મકાનના કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામશે. 'એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે મણકા તૂટી ગયા'કડિયાવાડ વિસ્તારની એક શેરીમાં રહેતા વસંતબેન તેરૈયાની આપવીતી પણ કંપારી છૂટી જાય એવી છે. તે જણાવે છે કે, આ વિસ્તારમાં ચાર મકાનો તો અત્યંત ભયજનક છે. વસંતબેન પોતે એક વર્ષ પહેલાં આ જ ગલીઓમાં ખરાબ રોડને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના મણકા તૂટી ગયા હતા છતાં કોઈ કોર્પોરેટરે તેમની ખબર સુદ્ધાં લીધી નહોતી. જ્યારે કોઈ મરી જાય ત્યારે આ નેતાઓ સ્મશાનમાં આવીને પણ ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી. ગઈકાલે મહિલા ઇજાગ્રસ્ત થઈ તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓ કહે છે કે જવાબદારો લોકોની બદદુઆ લઈ રહ્યા છે. 'ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત છતાં એક નોટિસ નથી ફટકારી'વસ્તા લાધા શેરીમાં રહેતા મિલનભાઈ વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની ગલીમાં બે મકાનો એટલી ખરાબ હાલતમાં છે કે તેના છજ્જા ગમે ત્યારે કોઈના માથે ખાબકી શકે છે. ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી એક નોટિસ પણ પાઠવવામાં આવી નથી. મનપા કમિશનરને ચેલેન્જ આપે છે કે જો તેઓ રૂબરૂ આવીને તપાસ કરે અને એન્જિનિયરો આ મકાનોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. છેલ્લા છ મહિનાથી અહીંની શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, પણ કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. ‘કાગળની કામગીરી છોડો ને ગ્રાઉન્ડ લેવલ પર ઊતરી મોતના માચડા દૂર કરો’વૃદ્ધા મનોરમાબેન જોશી પણ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તે કહે છે કે, અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. રસ્તાઓ તો ખરાબ છે જ, પણ ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર કે સ્લેબનો ભાગ માથે પડે. કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં હોય તેવું લાગતું જ નથી, કારણ કે અહીંના લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તંત્રની આ લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિ વચ્ચે કડિયાવાડનો સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગેજો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર આવી આ મોતના માચડાઓ દૂર કરવા જોઈએ જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. મહાનગરપાલિકાનું તંત્ર કદાચ મોટી જાનહાનિ બાદ સફાળું જાગેજ્યારે આ તો માત્ર ભાસ્કરની નજરે ચડેલી જર્જરીત બિલ્ડીંગો છે ત્યારે હજુ પણ 50થી વધુ જર્જરીત બિલ્ડીંગો અને મકાનો કડિયાવાળમાં મોતના માચડા સમાન ઊભા છે. પરંતુ હાલ જે પ્રમાણે ઘટના ઘટી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કદાચ જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ મોટી જાનહાનિ થાય અને ત્યારબાદ સફાળું જાગી કામગીરી કરે ત્યારે લોકોની વ્યથા અને વેદના એટલી હદ વટાવી ગઈ છે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે આ વિસ્તારમાં કિન્નરોને ચૂંટણી લડાવવી છે.
રેલવેમાં મુસાફરી કરતી વખતે જ્યારે કિંમતી સામાન ખોવાઈ જાય અથવા ભીડમાં નાનકડું બાળક વિખૂટું પડી જાય, ત્યારે મુસાફર પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કટોકટીની પળોમાં રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ ‘ખાખી’ની સખ્તાઈની સાથે માનવતાનો એવો ચહેરો રજૂ કર્યો છે જે મિસાલ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026) દરમિયાન રાજકોટ RPF એ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવી, પણ ‘સેવા હી સંકલ્પ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની રૂ.39 લાખની ‘અમાનત’ પરત કરી, ખોવાયેલા 27 ભૂલકાંને શોધી પરિવારને સોંપ્યા છે. મુસાફરી દરમિયાન ઉતાવળ કે ભૂલથી છૂટી ગયેલા સામાનને સુરક્ષિત રીતે તેના માલિક સુધી પહોંચાડવા માટે RPF એ ‘ઓપરેશન અમાનત’ ચલાવ્યું હતું. આ અંતર્ગત 352 મુસાફરને તેમનો અંદાજે રૂ.38,98,484 ની કિંમતનો સામાન (જેમાં લેપટોપ, મોબાઈલ, દાગીના અને રોકડનો સમાવેશ થાય છે) સહી-સલામત પરત સોંપવામાં આવ્યો છે. આ સિદ્ધિએ રેલવે પ્રશાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ બેવડાવ્યો છે. RPFની સૌથી સંવેદનશીલ કામગીરી ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ જોવા મળી. સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા 27 બાળકોને શોધીને કાઉન્સેલિંગ કરી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવ્યા હતા. તેવી જ રીતે ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 12 અન્ય વ્યક્તિઓને પણ તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. RPFની એક વર્ષની કામગીરી પર નજર: ચેઈન પુલિંગના 446 કેસ નોંધ્યા
બોજ નહીં, સહારો બનવું છે:29 કિલોના દિવ્યાંગ યુવાન પણ પરિવારને કરે છે સહાય
જીવનમાં પરિસ્થિતિઓ ઘણીવાર માણસને નબળો બનાવી દે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની મર્યાદાઓને જ પોતાની શક્તિ બનાવી લે છે. રાજકોટના 35 વર્ષીય મિલનભાઈ અશોકભાઈ વ્યાસ એવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે. માત્ર 29 કિલો વજન ધરાવતા મિલનભાઈને સ્પાઇનની ગંભીર તકલીફ છે. જેના કારણે તેમના હાથ અને પગમાં સતત દુખાવો રહે છે અને શરીરનો વિકાસ પણ પૂરતો થયો નથી, છતાં આ શારીરિક મર્યાદાઓ તેમના મનોબળને નબળું બનાવી શકી નથી. છેલ્લા 6 વર્ષથી મિલનભાઈ અગરબત્તી વેચવાનો નાનો વ્યવસાય કરે છે. રોજ સવારે મવડી ચોકડી પાસે અને સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે અગરબત્તી વેચતા જોવા મળે છે. તેમના પરિવારમાં કુલ 5 સભ્ય છે, જેમાં ભાઈ અને બહેન બંને મનોદિવ્યાંગ છે. પરિવારનું એકમાત્ર આવકનું સાધન તેમના પિતા અશોકભાઈ છે, જેઓની ઉંમર વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં મિલનભાઈએ પરિવાર પર બોજ બનવાને બદલે જાતે કમાઈ પરિવારને સહારો આપવાનો સંકલ્પ લીધો છે. તેમની આ લાગણી અને મહેનત એ દર્શાવે છે કે, સાચું બળ શરીરમાં નહીં પરંતુ મનમાં હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત ન હારતા મિલનભાઈ આજે અનેક લોકો માટે જીવંત પ્રેરણા બની રહ્યા છે.
કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે કાઉન્સેલિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને પૂરતો સમય આપી, તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની માનસિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ કાર્યમાં માત્ર વાતો જ નહીં, પરંતુ ભાવાત્મક અને આધ્યાત્મિક અભિગમ પણ અપનાવવામાં આવ્યો. આ નિઃશુલ્ક સેવા માત્ર કોરોનાકાળ પૂરતી મર્યાદિત ન રહેતા ત્યારબાદ પણ ચાલુ રહી. આજે સમાજમાં અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, અભ્યાસમાં નિષ્ફળતાનો ડર, પરિવારોમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને મોબાઈલ કે અન્ય વ્યસનોને કારણે પતિ-પત્ની અને બાળકો વચ્ચે વધતું જતું અંતર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. લોકો પાસે સમય હોવા છતાં તેઓ પોતાની જાત સાથે સમય વિતાવતા નથી. સોશિયલ મીડિયાના અતિરેકને કારણે માનવી અંદરથી એકલો પડી રહ્યો છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં તો લોકો “જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી’ તેવી ફરિયાદ સાથે આવે છે. આવા સમયે તેમને સર્જનાત્મક કાર્યો, સંગીત, વાંચન અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાની પ્રેરણા આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે મોટાભાગના શારીરિક રોગ ‘સાઇકોસોમેટિક’ એટલે કે માનસિક તણાવથી ઉદભવેલા હોય છે. અનેક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ કરાયું કિસ્સો-1 વડીલ સાસુને માથાનો દુખાવો અને એસિડિટી રહેતા જેનું મુખ્ય કારણ પુત્રવધૂ સાથેનો વિખવાદ હતો. આ તકે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કિસ્સામાં સાસુ, પતિ, પુત્ર અને પુત્રવધૂ દરેકને અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું હતું. કિસ્સો-2 સતત બે વખત આપઘાતના પ્રયત્નો કરી ચૂકેલા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એકધારા અઠવાડિયામાં ત્રણ વખત પોઝિટિવ થેરાપી આપી અને એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. આવા કિસ્સામાં આર્ટ ઓફ લિવિંગનો ખૂબ ધીરજપૂર્વક ઉપયોગ કરવો પડે છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ નેતાપુત્રોને ટિકિટની વાત આવતા વિરોધનો સૂર ઉઠ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. દરેક વોર્ડમાંથી 50થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે આંતરિક વિરોધ ચોક્કસ બહાર આવી શકે છે. કેટલાક વોર્ડમાં દાવેદારી નોંધાવનારા લોકોના વિરુદ્ધની વાતો પણ વહેતી કરવામાં આવી છે. અમદાવાદમાં એક જ પરિવારના લોકોને ટિકિટ આપવાથી લઈને પરિવારવાદ ન ચલાવવાની માંગ કાર્યકર્તાઓમાં ઉઠી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના પુત્ર અને તેમના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેનું લોબીંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં એક જ માંગ અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પરિવારવાદ ન હોવાની વાત કરે છે. પરંતુ ભાજપમાં જ નેતાઓ પોતાના પુત્રો અને સગા સંબંધીને ટિકિટ અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી શકે છે. ભાજપ કાર્યકર્તાઓ ટિકિટના લોબિંગ માટે કાર્યાલયના બદલે પ્રમુખના બંગલે પહોંચ્યા!અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં 192 બેઠક માટે દાવેદારી કરનારા દાવેદારો અને સાંભળવામાં આવ્યા હતા. 2300થી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી બે દિવસમાં નોંધાવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખના બંગલે પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉમેદવારી માટે અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી હતી. શહેર પ્રમુખના બંગલે બીજા દિવસે સવારે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચી ગયા હતા બંગલે પ્રમુખને ટિકિટ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને ખાનપુર કાર્યાલય ખાતે મળવાની જગ્યાએ બંગલા ઉપર મોટી સંખ્યામાં દાવેદારો પહોંચી ગયા હતા. ઓવૈસીની સભા સમયે ભાજપના ખાનપુર કાર્યાલયમાં શાંત માહોલ દેખાયોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ પ્રચારની શરૂઆત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં AIMIM પાર્ટી દ્વારા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની બહાર જ જાહેરમાં સભા કરીને ભાજપ વિરુદ્ધ સંબોધન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને ભાજપના નેતાઓ વિશે બોલવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયની બહાર જ યોજાયેલી સભાને લઈ ભાજપ કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. કાર્યાલયમાં એક પણ ભાજપના નેતા ચૂંટણી હોવા છતાં સાંજે 07:00 વાગ્યા બાદ કોઈપણ ખાસ મોટા નેતા કે કાર્યકર્તા કાર્યાલય પર જોવા મળ્યા નહોતા. ચૂંટણી હોય ત્યારે અમદાવાદ જેવા સૌથી મોટા શહેરના ભાજપના કાર્યાલય ઉપર ઓવેસીની સભાના કારણે ખાલીખમ જોવા મળ્યું હતું ભાજપમાં ‘મૌન’નો આદેશ! ઉમેદવાર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મીડિયાથી દૂર રાખાયાસ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે પાર્ટીમાં એક અલગ જ ‘મૌન રાજકારણ’ જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં નિરીક્ષકોની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ તેમને મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન ન આપવાનું ઉપરથી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પાર્ટીને ભય છે કે કોઈ નેતા બોલતાં બોલતાં વિવાદ ઊભો ન કરી દે, તેથી માત્ર નિર્ધારિત પ્રવક્તાઓને જ બોલવાની છૂટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે પ્રશ્ન કંઈ પણ પૂછવામાં આવે, પરંતુ જવાબ હંમેશા પાર્ટી લાઇન મુજબ જ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળવાની વાત ફેલાતા રાજકોટ ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગીસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ સમયે દરેક શહેર જિલ્લામાં કોને ટિકિટ મળશે કોની કપાશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાં નવા સંગઠનની જાહેરાતથી અનેક જુના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર સંભળાયા હતા. પરંતુ હવે સૌરાષ્ટ્રના પાટનગરમાં ઉમેદવારોની પસંદગીને લઇ પણ નારાજગી જોવા મળી રહી છે. ચર્ચા એવી છે કે કોંગ્રેસમાંથી આવેલા એક યુવા નેતાને ભાજપે ગત ટર્મમાં ટિકિટ તો આપી હતી પરંતુ હવે તેમને રિપીટ કરવાની વાતો થતા નારાજગી જોવા મળી રહી છે. સાથે તેઓ વિસ્તારના સ્થાનિક ન હોવા, મનપાના ભ્રષ્ટ TPOમાં ભાગીદાર હોવા અને આયાતી ઉમેદવાર હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. ભાજપના જ વિસ્તારના કાર્યકર્તા અને આગેવાનો પણ આ વાતથી નારાજગી દર્શાવી રહ્યા છે. જો કે કોંગ્રેસમાંથી આવેલા અને પહેલી જ ટર્મમાં વિવાદમાં સપડાયેલ આ યુવા નેતાને ટિકિટ મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. પ્રિલિમ, મેઈન્સ અને નેગેટિવ માર્કીંગ વગર ક્લાસ-2ની પરીક્ષા લેવાતા આશ્ચર્યસુરત મહાનગરપાલિકા (SMC)ની 2018ની Class-2 ભરતીની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવેલ જે પરીક્ષા ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 2 કલાકનું 100 માર્ક્સનું પેપર ઉમેદવારો માત્ર 1 કલાકમાં જ પૂરૂં કર્યું હતું, સૌથી મોટો મુદ્દો એ છે કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નહોતું અને કોઈ ઇન્ટરવ્યૂ નથી. જેના કારણે ઉમેદવારોમાં “આટલી સરળ પરીક્ષા Class-2 માટે કેવી રીતે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારની Class-3 ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી કઠિન પ્રક્રિયા હોય છે, ત્યારે SMCની આ સીધી અને સરળ સિસ્ટમ ચર્ચાનો વિષય બની ગઈ છે, સાથે જ સુરતની ભરતી માટે પરીક્ષા સેન્ટર અમદાવાદ રાખવામાં આવવું પણ હવે ચર્ચાને વધુ બળ આપી રહ્યું છે. IAS હિતેષ કોયાએ વયનિવૃત્તિ પહેલા જ નોકરી છોડી,કારણ શું, એક સિનિયર IASનું ટોર્ચર ?2008ની બેચના પ્રમોટી IAS અધિકારી હીતેશ કે કોયાએ પોતાની વયનિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેતા સચિવાલયમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું છે તે જાહેર કરાયુ નથી. પરંતુ નિવૃત્તિના આઠ મહિના પહેલાં સરકારી નોકરીમાંથી દૂર થયા એ વાસ્તવિકતા છે. મૂળ જામનગરના વતની એવા આ પ્રમોટી IAS નવેમ્બર 2026માં નિવૃત્ત થવાના હતા. તેમણે છેલ્લે ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી છે. ચર્ચા એવી છે કે, સચિવાલયમાં જ ફરજ બજવતા એક માથાભારે અને માથાફરેલા IAS અધિકારી કોયા પર માનસિક ટોર્ચર કરી રહ્યા હતા. આ અંગે કોયાએ પોતાના કેટલાક નજીકના માણસો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આ ટોર્ચરમાંથી છૂટવા માટે તેમણે નોકરી જ છોડી દીધી છે.હવે આ માથાફરેલા અધિકારી કોણ છે તેની કાનાફૂસી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પર વોચ રાખવા માટે પ્રથમવાર એક IAS અધિકારીની નિયુક્તિગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારીઓની નિયુક્તિ થતી હોય છે પરંતુ કેબિનેટના અન્ય કોઇ મંત્રીની કચેરીમાં IAS મુકાતા નથી. પરંતુ આ વખતે પહેલીવાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે 2014ની બેચના IAS અધિકારી આશિષ કુમારની નિયુક્તિ કરાઈ છે. તેમની પાસે હાલ ટ્રાયબલ ડેવલપમેન્ટના ડાયરેક્ટરનો એડિશનલ ચાર્જ યથાવત રહેશે. આ પહેલાં જ્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં IASની નિયુક્તિ થઇ નહોતી.જ્યારે રુપાણી સરકારમાં હોમ મિનિસ્ટર રહેલા પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં પણ કોઈ IAS અધિકારી નહોતા. ભુતકાળમાં ક્યારેય આવી નિયુક્તિ થઈ નથી. મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની આશિષ કુમાર બી.ટેક થયેલા છે.ચર્ચા એવી છે કે, ગૃહમંત્રીની કાર્યપધ્ધતિ પર વોચ રાખવા માટે કેન્દ્રની સૂચનાથી તેમને અહીં મુકાયા છે.મહિલા IASને દિલ્હી મોકલવાના હોવા છતા ત્રણ ત્રણ ઓર્ડર થયાસરકારી તંત્રમાં કેટલીયે વાર લોલંલોલ ચાલતુ હોવાનુ બહાર આવતુ હોય છે. ગત અઠવાડીયે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિનિયર IAS મહિલા અધિકારી આરતી કંવરનો દિલ્હી ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર થયો છે. સરકારને ખબર જ હતી કે, તેમની અરજી પેન્ડીંગ છે અને ગમે ત્યારે દિલ્હી મોકલવા પડશે. આમછત્તા સરકારે તેમને જૂદી જૂદી જવાબદારી સોંપી હતી.સૌ પ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થોડી મોડી થતા કોર્પોરેશનોમાં વહીવટદોરની નિમણૂકો કરાઈ હતી. જેમાં કંવરને જામનગરમાં મુકાયા હતા. ત્યારબાદ તુરંત જ એટલે કે આ ઓર્ડરના બીજા દિવસે સરકારે તેમને એક જીલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી સોંપી દીધી હતી. આ બન્ને ઓર્ડર થયા બાદ દિલ્હીથી તેડુ આવતા ફરીથી સરકારે ત્રીજો ઓર્ડર કરીને તેમને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે.જો કે, આરતી કંવરની થોડા સમય પહેલા જ જીએસટી કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ હતી. બ્યુરોક્રેટ્સમાં આરતી કંવરના ગણતરીના દિવસોમાં જ ત્રણ ત્રણ ઓર્ડર થયા તેની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છત્તા સરકારે કલેક્ટરો-ડીડીઓની બદલીઓ ના જ કરીવડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે એ નક્કી હતુ. સરકારને આ બાબતની જાણકારી પણ હતી જ.આમછત્તા કલેકટરો અને ડીડીઓની બદલીઓના ઓર્ડર કર્યા નહોતા. છેલ્લા એક મહિનાથી સચિવાલયમાં ચર્ચા હતી કે, વિધાનસભાનુ બજેટ સત્ર પૂરુ થયા બાદ અને ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા જ સામૂહિક બદલીઓના ઓર્ડર થશે. કેટલાક કલેક્ટરોએ તો મહત્વના કામો કરવાનુ પણ છોડી દીધુ હતુ. નવા પ્રોજેક્ટ કે કામગીરી શરુ કરી નહોતી. બેથી અઢી વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા કલેક્ટરો-ડીડીઓ પોતાની બદલીની રાહ જોતા હતા પણ ચૂંટણી જાહેર થયા છત્તા બદલી થઈ નથી.હવે ફરીથી દોઢ મહીનો જેટલી રાહ જોવી પડશે. જો કે, ચૂંટણી પંચ અમુક કલેક્ટર કે ડીડીઓની બદલી કરે તો નવાઈ નથી. સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરાતા ભાજપના દાવેદારો નારાજસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નિરીક્ષકો શહેર અને જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક જગ્યા પર મોકલવામાં આવેલા નિરીક્ષકોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા ભાજપની સેન્સ પ્રક્રિયામાં લાલિયાવાડી બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે, આવા નેતાઓ કોઈપણ પ્રકારની સેન્સની જગ્યાએ નોનસેન્સ સવાલો કરી રહ્યા છે. ખૂબ જ વિવાદ આસપાસ ગણાતા એવા વોર્ડની સેન્સ લેવા આવેલા નિરીક્ષકોમાં રોષ જોવા મળતા આગામી દિવસોમાં આ વોર્ડમાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ અને તેમની વ્યથા ચોક્કસથી બહાર આવે તેવી ચર્ચા છે. ભાજપની સોશિયલ મીડિયા પર નબળી કામગીરીની કેન્દ્રીય નેતાઓએ નોંધ લીધીગુજરાત ભાજપના સંગઠનમાં પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા ઉપર સક્રિય ન હોવા અંગેની નોંધ કેન્દ્રીય નેતાઓએ પણ લીધી છે. ભાજપનું સોશિયલ મીડિયા નબળું છે ત્યારે ભાજપ મીડિયામાં વિભાગમાં શહેર અને જિલ્લામાં નેતાઓની નિમણૂક કરવામાં આવી છે જે નિષ્ક્રિય કામગીરી કરી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તેની માહિતી પણ હવે મીડિયા સુધી પહોંચાડવામાં ભાજપના જ નેતાઓને રસ ન હોય એવી નીતિ અપનાવવામાં આવી હોય તેમ માત્ર શહેર અને જિલ્લાઓમાં મીડિયા વિભાગમાં નામો જાહેર કરી દીધા છે. પરંતુ કોઈ પણ પ્રકારની સક્રિયતા જોવા મળી રહી નથી જેને લઈને ચર્ચા જાગી છે કે માત્ર હોદ્દાઓ મેળવવામાં રસ છે. મીડિયામાં માહિતી આપ લે કરવામાં મીડિયા વિભાગના હોદ્દેદારો નેતાઓ નિષ્ફળ ગયા છે. અમદાવાદ પશ્ચિમના એક વોર્ડમાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નડી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ કરવામાં આવી છે તેની વચ્ચે અનામત રોટેશનમાં કેટલીક જગ્યાએ અનુસૂચિત જાતિ અને ઓબીસી ઉમેદવાર નક્કી કરવાના છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપનો આંતરિક વિખવાદ ખૂબ જ સપાટી ઉપર આવી ગયો છે. વોર્ડ પ્રમુખ દ્વારા જેની સામે છેતરપિંડીનો કેસ થયો છે એવા એક વ્યક્તિને બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં થઈ રહી છે. ભાજપના આંતરિક વિખવાદો ખૂબ જ સપાટી ઉપર છે અનુસૂચિત જાતિના એક મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી તેમાં ફોટો એડિટિંગ કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના આ વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે ત્યારે આ વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ કોંગ્રેસને ખૂબ જ ફાયદો કરાવી શકે તેમ છે. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના સ્થળને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચાસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. પરંતુ કેટલાક વોર્ડમાં ભાજપના નેતાઓની યોગ્ય કામગીરી ન હોવાના કારણે થઈને ભાજપ આ બેઠકો જીતી શકે તેમ નથી. શહેરના વિસ્તારમાં એક વોર્ડ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પરંતુ જે વિસ્તારમાં ભાજપના મતદારો છે એવા જ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એક એવી ચર્ચા જાગી રહી છે કે જ્યાં ખરેખર કોંગ્રેસના મતદારો છે તેવા વિસ્તારમાં ભાજપનું કાર્યાલય હોવું જોઈએ એના કારણે થઈને લોકો ભાજપની સાથે જોડાઈ શકે. પરંતુ ભાજપના નેતાઓએ કાર્યાલય પોશ વિસ્તારમાં ખોલ્યું છે. જેના કારણે થઈને જે કોંગ્રેસના મતવિસ્તારના ઉમેદવારો છે તે ભાજપ સાથે જોડાઈ શકશે નહીં અને ભાજપને તેમાં કોઈ ફાયદો થઈ શકે તેમ નથી.
સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. આવાસની દરેક ગલીઓમાં કચરાના ઢગલા અને ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જયારે નંદઘર અને ક્લિનિક પાસે પણ ડ્રેનેજની ગંદકી જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું અને પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું ચીમકી ઉચ્ચારી છે. નંદઘર અને ક્લિનિક પાસે જ ગંદકીના ઢગલાસ્થાનિકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ હોવી જોઈએ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય છે. વડોદ આવાસમાં આવેલા નંદઘર કમ્યુનિટી હોલ અને સરકારી ક્લિનિકની બિલકુલ બાજુમાં કચરાના મોટા પહાડો ખડકાયા છે. લોકો અહીં સુવિધા માટે આવે છે પરંતુ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ક્લિનિકમાં આવતા દર્દીઓ અને બાળકો આ ગંદકીના કારણે વધુ બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ કચરો દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ગંદકીના કારણે બાળકોમાં બીમારીનું જોખમ વધ્યુંઆવાસની ગલીઓમાં વહેતા ગટરના પાણી અને કચરામાં જ માસૂમ બાળકો રમવા માટે મજબૂર છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો સતત મંડરાતો રહે છે. ગરીબ પરિવારો જે રોજનું કમાઈને રોજ ખાય છે, તેઓ કમાણી છોડીને બાળકોની સારવાર માટે દોડધામ કરે કે પેટ ભરે? તે મોટો સવાલ છે. 'વોટ માંગવાનો સમય આવે ત્યારે નેતાઓ હાથ જોડીને આવે છે'સ્થાનિક રહીશ મમતાબેને જણાવ્યું કે, તેમની દુકાન અને ઘરની આસપાસ એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો આ ગંદકી વચ્ચે મોટા થઈ રહ્યા છે. જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે અને મોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે. 5 વર્ષમાં એકવાર પણ કોઈ નેતાએ અહીં આવીને એવું નથી પૂછ્યું કે તમે કઈ હાલતમાં જીવો છો. 'ટેક્સ ભરાવશે, પણ કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી'સ્થાનિક દુકાનદાર અશોક ભાઈએ જણાવ્યું કે, પૈસા લેવા આવશે, ટેક્સ ભરાવશે, ઘરવેરો ભરાવશે, પણ અહીંયા કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી. એસએમસી (SMC)ની સાઉથ ઝોનની ઓફિસ અહીંયા જ છે, એ લોકો પણ જોઈ રહ્યા છે કે પાણી રસ્તા પર વહી રહ્યું છે, છતાં કોઈ વ્યવસ્થા નથી થતી. નેતાઓ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વોટ માંગવા આવે છે, પછી દેખાતા જ નથી. 'પીવાનું પાણી ગંદુ આવે અને વાસ મારે છે'સ્થાનિક કોકિલાબેને જણાવ્યું હતું કે, અહીં પાણી સવારે ગંદુ આવે અને વાસ મારે છે. કચરાવાળા પણ આવે તો ઢગલો કરીને ચાલ્યા જાય, પછી એને લઈ નથી જતા. અમને તો એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે કે કયા સાહેબ છે, અમે તો જૂના ઘરે જઈને વોટ આપી આવીએ છીએ પણ અહીં કોઈ નેતા જોવા આવતું નથી. 'બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે'સ્થાનિક કલાબેને જણાવ્યું હતું કે, કોઈ નેતા નથી આવતું, ખાલી વોટિંગ જોઈતું હોય ત્યારે જ આવી જાય છે. આ બધી બિલ્ડિંગોની સફાઈ કરવા કોઈ નથી આવતું, અમારે જાતે જ બધું કરવાનું હોય છે. નેતાઓ નથી આવતા, બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે એટલે અમે વોટ દઈ આવીએ છીએ. આઠ-આઠ વર્ષથી જનતા પરેશાન, કોઈ ઉકેલ નહીંવડોદ આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નરક જેવી સ્થિતિમાં રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર કામચલાઉ સફાઈ થાય છે. ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. આ ગંદકીમાં જીવવું એ હવે અહીંના લોકોની મજબૂરી બની ગઈ છે. પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ બંને આ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો અમદાવાદમાં મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 42 ઇન્દ્રપુરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક કિરણભાઈએ કહ્યું, ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે, જ્યારે ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, છ મહિનાથી આ રોડ બંધ છે, કોર્પોરેટરો આવતા જ નથી. વરસાદમાં રોડ પર કેડ સમાં પાણી ભરાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાય છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં, ટ્રાફીકની સમસ્યાવોર્ડ નં. 42માંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, સીટીએમ મિલ, ગાય સર્કલ, સુરેલીયા સર્કલ, બરોડા એક્સપ્રેસ હાઈવે અને રાજેન્દ્ર ચાર રસ્તા વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જાણીએ વોર્ડ નં.42ના લોકોએ ઇન્દ્રપુરી વોર્ડ વિશે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શું જણાવ્યું. 'ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી'ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંઘલએ વધુમાં કહ્યું કે, લગભગ એકાદ વર્ષ પહેલાં આ CTM ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા હતા ત્યારે સફિન હસનને અમે મળ્યા હતા. મેં કહ્યું હતું કે, આ ચાર રસ્તા બંધ કરો છો, બે ઓવરબ્રિજ છે, તંત્રની બેદરકારીના કારણે આ તમે ચાર રસ્તા બંધ કરી રહ્યા છો. તેઓએ ત્યારે મને એવું આશ્વાસન આપ્યું હતું કે, રાજુભાઈ, મને ચાર રસ્તા બંધ કરવા દો, હું તમારું CTM ચાર રસ્તા જંક્શન બનાવી દઈશ. અત્યારે જોઈ શકો છો ચાર રસ્તા પર ક્યાંય ફૂટપાથના ઠેકાણા નથી, રોડ-રસ્તાના ઠેકાણા નથી. 'વરસાદ પડવાથી રોડ પર કેડ સમાં પાણી ભરાય છે'સિંઘલએ વધુમાં જણાવ્યું કે, હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ તે જગ્યાએ છ મહિના પહેલા ભુવો પડ્યો હતો. એ છ મહિનાથી ભુવો પડેલો છે, હજુ સુધી એનું પુરાણ કરવામાં આવતું નથી. રોડ રસ્તા બંધ છે. આ જ રોડ પર વરસાદ પડવાથી કેડ સમાં પાણી ભરાઈ જાય છે. 'કુશાભાઉ ઠાકરે હોલની અંદર છતમાંથી પાણી ટપકે છે'કુશાભાઉ ઠાકરે હોલ વિશે રાજેન્દ્ર સિંઘલએ જણાવ્યું કે, થોડાક આગળ જાઓ તો ગાય સર્કલની આગળ કુશાભાઉ ઠાકરે હોલ છે. જે હોલની અંદર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. છેલ્લા એક વર્ષથી હું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં લખું છું કે સાહેબ, આ હોલની અંદર દરવાજાના ઠેકાણા નથી. ઉપર છતમાંથી પાણી ટપકે છે. અંદર પાણી ભરાઈ જાય છે. પાર્કિંગની અંદર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નથી. 'ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર, પીવાનું પાણી મળતું નથી'સિંઘલે જણાવ્યું હતુ કે, સુરેલિયા રોડ ઉપર અત્યારે હાલ ચોમાસામાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. લોકોને હાલ પીવાનું પાણી મળતું નથી અને જે મળે છે તે ગંદુ આવી રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા તો અપરંપાર છે. CTM ચાર રસ્તાથી કેનાલ સુધીમાં કોર્પોરેશને 10 જગ્યાએ ખોદકામ કર્યું છે. એક મહિનાથી આ લોકો ખોદીને પાછા પૂરે છે અને બીજે ખોદે છે. 'ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે મત મળતા નથી'રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, કોર્પોરેટરોમાં એક કોર્પોરેટર તો એક્સપાયર થઈ ગયા છે. બાકીના ત્રણમાંથી એક પણ કોર્પોરેટર અહીં આવતા નથી. આ લોકો ભાજપના નામે મત લઈ જાય છે, પ્રજાના કામોના નામે એમને મત મળતા નથી. જો સેવા જ કરી રહ્યા હોય, તો અમે કોંગ્રેસના કાર્યકરો સેવા કરીએ છીએ. ઇન્દ્રપુરી વોર્ડમાં ક્યારેય કોંગ્રેસ જીતી નથી, છતાં છેલ્લા 30 વર્ષથી અમે પ્રજાની સાથે છીએ અને પ્રજાની વચ્ચે જ છીએ. 'આંગણવાડી 4 વર્ષથી બંધ હાલતમાં છે'વધુમાં રાજેન્દ્ર સિંઘલએ કહ્યું કે, ઇન્દ્રપુરી વોર્ડમાં તમને કોઈ ડેવલપમેન્ટ દેખાશે જ નહીં. પુલ નીચે શાકભાજીની લારીઓ વાળા ઉભા છે, એમના માટે અમે માંગણી કરી છે કે ખુલ્લો પ્લોટ પડ્યો છે ત્યાં શાક માર્કેટની વ્યવસ્થા કરી આપો, પણ એ કરવામાં આવતું નથી. આ સિવાય ઇન્દ્રપુરી વોર્ડમાં એક આંગણવાડી બનાવેલી છે જે લગભગ 4 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યાં મારી હાઈટ સમાન ઘાસ ઉગી ગયું છે અને અંદર દારૂ-જુગાર જેવા ધંધા ચાલે છે. 'ફક્ત નામ ઇન્દ્રપુરી છે બાકી સ્થિતિ તો નર્કાગાર જેવી છે'સ્થાનિક કિરણભાઈએ જણાવ્યું હતું કે, અમારા ઇન્દ્રપુરીમાં એક સ્વિમિંગ પૂલ અને એક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જે અહીં સીટીએમ ચાર રસ્તાથી ફક્ત 20 ફૂટના અંતરે આવેલ છે અત્યારે એની હાલત મૃતપાય હાલતમાં છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સંપર્ક કર્યો, પણ તેને વાત ના કરી આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર કૌશિક ભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ વાત કરવા બાબતે બહાના બનાવ્યા હતા અને દિવ્ય ભાસ્કર સાથે કોઈ વાત કરી ન હતી.

27 C