પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બજાણા પોલીસે ખેતરમાંથી દારૂની 1344 બોટલ જપ્ત કરી
પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બજાણા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડબની આડશમાં છુપાવેલો કુલ 8,63,184 રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂના જથ્થામાં કાચ અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 1344 નંગ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા અને તેમની ટીમને ઝેઝરી ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, મયુરખાન મહમદખાન મલેક (રહે. ઝેઝરી, તા. પાટડી) અને બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક (રહે. પીપળી, તા. પાટડી) દ્વારા ઝેઝરીથી અંકેવાડિયા ગામ જવાના માર્ગે આવેલા મયુરખાનના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેડ કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. વાઘેલા, પો.હેડ.કોન્સ. વી.બી. મેટાલીયા, પો.કોન્સ. શક્તિભાઈ પ્રભુભાઈ ગોપેલ, પો.કોન્સ. રાહેશભાઈ ભાવજીભાઈ, પો.કોન્સ. ધ્રુવરાજસિંહ રાણા અને પો.કોન્સ. ભગીરથસિંહ વાઘેલા સહિતની ટીમ જોડાઈ હતી.
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ અભયમ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે,6 મહિનાથી મારા બોયફ્રેન્ડે મને છોડી દીધી છે, હું ડિપ્રેશનમાં આવી ગઈ છું, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. આ કોલ મળતાં જ અભયમ ટીમે તાત્કાલિક યુવતીના આપેલા સરનામે પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને યુવાન અને યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પીડિત યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તે ગોધરાની વતની છે અને તેના જ વતનના એક યુવક સાથે ગત ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને એક વર્ષથી વડોદરામાં રહેતા હતા. યુવતી મોલમાં નોકરી કરે છે જ્યારે યુવક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. બંનેએ ભાડાનું મકાન રાખીને એકસાથે રહેવાનું શરૂ કર્યું હતું. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, યુવક વારંવાર કહેતો હતો કે, તેનો પરિવાર તેને સ્વીકારશે નહીં કારણ કે, બંનેનો સમાજ અલગ-અલગ છે. તેણે લગ્નની ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી અને છોડી નહીં દેવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે છ મહિના પહેલાં યુવકે કહ્યું કે કંપનીના કામ માટે તેને વિદેશ જવું પડશે અને યુવતીને તેની બહેનના ઘરે રહેવા મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે યુવતીનો નંબર બ્લોક કરી દીધો અને વોટ્સએપ પર પણ સંપર્ક તોડી નાખ્યો હતો. યુવતીએ અનેક વખત અલગ-અલગ નંબરથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવકે બહાનાં બનાવ્યા હતા. જેમ કે એક્સિડન્ટ થયું છે, હોસ્પિટલમાં એડમિટ છું. છેલ્લે યુવતીને ખબર પડી હતી કે, યુવક બીજી એક છોકરી સાથે વાતચીત કરી રહ્યો છે અને તેના પરિવાર લગ્નની વાત પણ કરી રહ્યા છે. આ બધું જાણીને યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ અને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા, જેના કારણે તેણે અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે યુવતીને વિશ્વાસ અને હિંમત આપી તેની ચિંતા દૂર કરી હતી. અભયમની ટીમ યુવકનો સંપર્ક કરીને તેને મળી હતી અને સમગ્ર બાબતની ચર્ચા કરી હતી. યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે તેણે ખોટું બોલીને યુવતીને બહેનના ઘરે મોકલી દીધી હતી. તેણે પોતાના વર્તન માટે પસ્તાવો વ્યક્ત કર્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતાના પરિવાર સાથે વાત કરીને સામાજિક રીતે આ બાબતને ઉકેલવા માંગે છે. તેણે કાયદાકીય કાર્યવાહી ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અભયમ ટીમના સલાહ-સૂચન અને માર્ગદર્શન બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.
પાલનપુર આંગણવાડીઓમાં બાળ દિવસની ઉજવણી:બાળકોના વિકાસ રિપોર્ટ કાર્ડ અપાયા, જન્મદિવસની સામૂહિક ઉજવણી
પાલનપુર ઘટક-1 હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 'બાળ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારત સરકારની 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020' અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને મહત્વ આપવા માટે યોજાયો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના વિકાસનું સતત અવલોકન કરી 'અગમ' (AGAM) એપ અને 'મારી વિકાસયાત્રા' પુસ્તિકામાં નિયમિતપણે નોંધ લેવામાં આવે છે. જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર માસમાં બાળકોની પ્રગતિની નોંધણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન, જાન્યુઆરી માસમાં કરાયેલા અવલોકનના આધારે તૈયાર થયેલા 'મારી વિકાસયાત્રા' રિપોર્ટ કાર્ડ વાલીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યકર બહેનોએ વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ ફેબ્રુઆરી માસમાં જન્મેલા બાળકોના જન્મદિવસની સામૂહિક ઉજવણી હતી, જેમાં બાળકો અને વાલીઓએ આનંદપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સી.ડી.પી.ઓ. ડિમ્પલબેન પંચાલ, તમામ સુપરવાઈઝર બહેનો, ડિસ્ટ્રિક્ટ પી.એસ.સી. રોહિતભાઈ સેવક, બ્લોક પી.એસ.સી. સ્મિતાબેન વણકર અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નોકરીના કલાકો 9થી વધારીને 10 કરવામાં આવ્યા ગુજરાત સરકારે નોકરીના કલાકો 9થી વધારી 10 કર્યા...મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ આપવામાં આવી.. વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે .20થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર સાડા ત્રણ મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે ગુજરાતની ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી.... રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદાર નોંધાયા, 3.95 લાખ નામ કમી થયા છે. તો યાદી જાહેર થતા હવે એપ્રિલના અંત અથવા મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની પૂરી સંભાવના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન પોરબંદરના દરિયાકિનારેથી 200 કિલોથી વધુ શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયું...બલૂચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા.. પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે તેમને ઝડપી લીધા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઈકાલે સ્કૂલ્સ બાદ આજે વિવિધ કોર્ટને ધમકી મળી અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી.. ગઈકાલે સ્કૂલોને પણ આવી જ ધમકી મળી હતી. જો કે આમાં વડોદરાની બ્રાઈટ સ્કૂલને તો સ્કૂલના જ પાંચમા ધોરણના વિદ્યાર્થીએ રજાના આશયથી ધમકી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી CBSE બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ આજથી દેશભર સહિત અમદાવાદમાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ. અમદાવાદની 85 શાળાઓમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ગણિત અને આંત્રપ્રિન્યોરશિપ જેવા વિષયોની પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળ-તસ્કરીની અફવામાં નિર્દોષો પર અત્યાચાર સુરતમાં બાળ તસ્કરીની અફવાએ હિંસક રુપ લીધું.. ભેસ્તાન - સલાબતપુરા બાદ ખટોદરામાં મહિલાને બાળક ચોર સમજી ટોળાએ હુમલો કર્યો. પાછલા ચાર દિવસમાં બાળક ચોર સમજી નિર્દોષો પર અત્યાચારની આ ત્રીજી ઘટના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેકાબૂ બનેલી SUVનો અકસ્માત, 3નાં મોત દાહોદ-અમદાવાદ હાઇવે પર બેકાબૂ એસયુવી કાર ડિવાઈડર બાદ થાંભલે અથડાઈ. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતદેહોન ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. ટક્કર એટલી ભયાનક હતી તે એન્જિનના ટુકડા ખેતરોમાં ફેંકાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિવાદિત કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને પડકાર્યા શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને પડકાર્યા.. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે ભગવા પાછળના બધા રહસ્યો હું જાણું છું. રાત્રે 9 વાગ્યે પ્રુફ સાથે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ સામે લાવીશ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતીને વેલેન્ટાઈન ડે પર ડિનર માટે બોલાવવી ભારે પડી વડોદરાના અકોટામાં યુવકને તાલિબાની સજા આપી. .યુવકે વેલેન્ટાઈન ડે પર યુવતીને ડિનર પર બોલાવી.. જે બાદ યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોર માર માર્યો, જેનો વીડિયો વાયરલ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહ પાછળ પડતા બળદ કૂવામાં ખાબક્યા અમરેલીના ખાંભામાં સિંહ પાછળ દોડતા બે બળદ ગાડા સાથે કૂવામાં ખાબક્યા.એક બળદનું મોત નીપજ્યું,જ્યારે બીજાને પાંચ કલાકની જહેમત બાદ ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામે પંચાયત સદસ્ય દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. પોતાના ઘરના પ્લોટની આકારણી અને સનદ મેળવવા ગયેલી 27 વર્ષીય સોનલબેન ચાવડાને પંચાયત સદસ્ય નસીબખાન હબીબખાન મલેકે જાહેરમાં લાફો માર્યો હતો અને જાતિવિષયક અપમાનિત કર્યા હતા. આ ઘટના પીપળી ગ્રામ પંચાયત કચેરીમાં બની હતી. મહિલા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી રહી હતી ત્યારે આરોપી નસીબખાને તેમને અપશબ્દો કહ્યા હતા અને જાતિવિષયક અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે મહિલાને અહીંથી જાય છે કે નહીં કહીને જાહેરમાં અપમાનિત કરી હતી અને બાદમાં લાફો માર્યો હતો. પીડિતાના પરિવારને 1961માં સરકારે રહેણાંક પ્લોટ ફાળવ્યો હતો, પરંતુ તેઓ વર્ષોથી સનદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આરોપી નસીબખાન મલેક પંચાયતનો સભ્ય હોવાથી સત્તાનો દુરુપયોગ કરીને આ પરિવારના કામમાં અવરોધ ઉભો કરી રહ્યો હોવાનો આરોપ છે. બનાવના દિવસે પણ અધિકારીઓ હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. આ ગંભીર ઘટના બાદ પીડિતા સોનલબેન ચાવડાએ દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 115(2) (સ્વેચ્છાએ વ્યથા પહોંચાડવી), 352 (ઈરાદાપૂર્વક અપમાન), 351(2) (ગુનાહિત ધમકી) તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પાટણમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:ધર્મ રક્ષણ અને સાંસ્કૃતિક વારસા પર ચિંતન કરાયું
પાટણના ભવાની ફાર્મ મેદાન ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હિન્દુ ધર્મના મૂળભૂત તત્વો, સંસ્કૃતિ અને વર્તમાન પડકારો અંગે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાતના પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ, મીનાબેન પટેલ અને હર્ષદ ભૂતડીયાએ વક્તા તરીકે ઉપસ્થિત રહી સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. દિગંબર ઉમાશંકરગીરી મહારાજે આશીર્વચન પાઠવ્યા. વૈચારિક ચિંતન સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને પણ સ્થાન અપાયું હતું. જેમાં 'ઓપરેશન સિંદૂર' પર આધારિત એક નાટક અને મહિલાઓ દ્વારા તલવારબાજીના કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તેમજ જે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તેવા પ્લાસ્ટિકનો ફરીથી યુઝ કરી શકાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિસાયકલ પ્લાન્ટ ચલાવવામાં આવે છે. શહેરમાં આવેલા દરેક કોમર્શિયલ એકમ, બલ્ક વેસ્ટ જનરેટર, ઉદ્યોગ, હોટેલ, મોલ, હોસ્પિટલ, પાર્ટીપ્લોટ, બેન્ક્વેટ હોલ, કબાડીવાડા તેમજ અન્ય સંસ્થાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ દ્વારા જણાવ્યું છે કે તેઓ દ્વારા કલેક્શન, સંગ્રહ કે ઉપયોગમાં લેવાયેલા મલ્ટીલેયર (MLP), નોનરીસયક્લેબલ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય કરેલી એજન્સીઓને તેઓના જણાવેલ ઝોન અનુસાર પ્રોસેસિંગ માટે આપવાનું રહેશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહીજો કોમર્શિયલ એકમો કે અલગ અલગ વેપારી એકમો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ આપવામાં નહીં આવે તો તેના વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમો હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ પર જે વેસ્ટ પ્લાસ્ટિક હોય છે તેનો નિકાલ યોગ્ય સ્થળે થઈ જાય તેના માટે અલગ અલગ બે એજન્સીઓ નિયુક્ત કરવામાં આવેલી છે. એજન્સીઓને સંપર્ક કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ આપવાનો રહેશે.
હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આ બેઠક જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બજેટમાં રૂ. 13.87 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે રૂ. 4.39 કરોડની પુરાંત દર્શાવે છે. બજેટની જોગવાઈઓ મુજબ, સ્વભંડોળની ઉઘડતી સિલક અને અપેક્ષિત આવક અંદાજે રૂ. 17.83 કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારની ઉઘડતી સિલક અને અપેક્ષિત આવક અંદાજે રૂ. 1997.54 કરોડ સામે રૂ. 1387.06 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મંગળવારે યોજાયેલી આ સભામાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ'ના સંકલ્પને સાકાર કરવા માટે ખૂટતી સુવિધાઓ અપગ્રેડ કરવા વિશેષ જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના વિકાસના અન્ય કામો તેમજ જૂના રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ફાળવણી કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ. 346.71 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 433.02 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 66.04 લાખ, આયુર્વેદ અને આરોગ્ય માટે રૂ. 7.05 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ. 8.75 લાખ, આંકડા ક્ષેત્ર માટે રૂ. 17.06 લાખ, સમાજ કલ્યાણ માટે રૂ. 81.07 લાખ અને જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ. 373 લાખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય ક્ષેત્રો માટે રૂ. 6.05 લાખની જોગવાઈ કરાઈ છે. ખાસ સામાન્ય સભા દરમિયાન, આરોગ્ય અધિકારી દ્વારા સરકારની લાલન-પાલન યોજનાની વિગતો અને સાબરકાંઠાના પછાત વિસ્તારોમાં તેની અમલવારી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સદસ્યોએ તેમની ગ્રાન્ટમાં વધારો કરવા અને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી હતી. જેના પ્રતિસાદરૂપે, જિલ્લા વિકાસ અધિકારીએ કાયદાની મર્યાદામાં રહીને સહયોગ આપવાની ખાતરી આપી હતી.
હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પરિસરમાં નવા રેકર્ડ બિલ્ડીંગ અને ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે થયેલા આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પંચાયતના ચેરમેન અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ વિભાગ દ્વારા આશરે ૮૨ લાખ રૂપિયાના ખર્ચે ૨૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં આ રેકર્ડ બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે. આ બિલ્ડીંગમાં નીચે પાર્કિંગની સુવિધા છે અને ઉપરના માળે બે મોટા હોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં પંચાયતના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ રેકર્ડ્સ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા ૧.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટોર જિલ્લાની ૩૨,૦૦૦થી વધુ સગર્ભા માતાઓ અને ૩૦,૩૦૦થી વધુ ૦ થી ૫ વર્ષના બાળકોને અપાતી નવ પ્રકારની જીવનરક્ષક રસીઓ માટે વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ જાળવવામાં મદદરૂપ થશે. આ રસીઓમાં BCG, OPV, Pentavalent, MR, Td જેવી મહત્વપૂર્ણ રસીઓનો સમાવેશ થાય છે. આ વેક્સીન સ્ટોરમાં ૨C થી ૮C તાપમાન જાળવવા માટે અદ્યતન આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર (ILR) અને ડીપ ફ્રીઝર યુનિટ્સ જેવી તકનીકી સુવિધાઓ ઉપલબ્ધ છે. રસીઓના ૨૪x૭ સતત મોનિટરિંગ માટે ડિજિટલ ડેટા લોગર અને રિમોટ ટેમ્પરેચર ટ્રેકિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય ત્યારે જનરેટર આધારિત પાવર બેકઅપ અને તાપમાનમાં ભંગાણ થાય ત્યારે ઓટોમેટેડ એલાર્મ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. આ ઉપરાંત, Vaccine Vial Monitor (VVM) દ્વારા રસીની પોટેન્સી અને હીટ એક્સપોઝરનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. WHOની માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણ વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે. રસીઓની અસરકારકતા જાળવવા માટે શીત શૃંખલા (કોલ્ડ ચેઇન) અનિવાર્ય છે, જે માતા અને બાળ આરોગ્ય સૂચકાંકોમાં સુધારો કરશે અને રસીથી અટકાવી શકાય તેવા રોગો સામે મજબૂત રક્ષણ પૂરું પાડશે.
અમદાવાદના અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે 'અધ્યાપક સન્માન 2025' માટે રાજકોટના પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. ઇરોસ વાજાની પસંદગી કરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્ય સમારોહમાં તેમને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. વૈશ્વિક ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ ડો. ઇરોસ વાજા હાલમાં માતુશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે અંગ્રેજી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે કેનેડા, ઉઝબેકિસ્તાન અને દુબઈ (GITEX 2019) જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી બોર્ડ ઓફ સ્ટડીઝના સતત 3 ટર્મ સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે. અદભૂત શૈક્ષણિક લાયકાત અને સંશોધન તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી રહી છે: ડિગ્રીઓ: અંગ્રેજી સાહિત્ય, ફિલોસોફી અને પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી તેમજ એલએલ.બી. અને ક્રિએટિવ રાઇટિંગમાં ડિપ્લોમા. પીએચ.ડી.: અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વ એમ બે અલગ વિષયોમાં પીએચ.ડી.ની ઉપાધિ. નવીનતા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વોકેબ્યુલરી સંશોધન માટે તેમણે પેટન્ટ પણ મેળવી છે. પુસ્તકો: તેમણે ગિરીશ કર્નાડના નાટકો, માસ મીડિયા અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેવા વિષયો પર મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા છે. સામાજિક અને શૈક્ષણિક પ્રદાન ડો. વાજા માત્ર વર્ગખંડ પૂરતા મર્યાદિત નથી, તેઓ આકાશવાણી અને ટેલિવિઝન પર શૈક્ષણિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપે છે. અનેક વિદ્યાર્થીઓને પીએચ.ડી.માં માર્ગદર્શન આપવાની સાથે તેઓ ઇગ્નુ (IGNOU) માં એકેડેમિક કાઉન્સેલર તરીકે પણ સેવા આપે છે. અગાઉ તેમને ચાણક્ય એવોર્ડ (2008) અને વેદાંત એક્સેલન્સ એવોર્ડ (2020) થી નવાજવામાં આવ્યા છે. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પસંદગી ડો. વાજાના દીર્ઘકાલીન સંશોધનાત્મક અને શૈક્ષણિક યોગદાનની સાચી કદર છે, જેનાથી સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
નેત્રંગના 12 ગામના ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:જમીન સંપાદનમાં વર્તમાન બજારભાવ મુજબ વળતરની માંગ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના 12 ગામના ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે. નેશનલ હાઈવેના વિસ્તરણ માટે થતી જમીન સંપાદન પ્રક્રિયામાં યોગ્ય અને વધુ વળતર ચૂકવવાની તેમની માંગ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન માટે વર્તમાન બજારભાવને બદલે જૂના દરના આધારે વળતર નક્કી કરવામાં આવી રહ્યું છે. આનાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નેત્રંગ તાલુકાના વાપી-અંબાવા-યાસવડ-નેત્રંગ-કાંડીપાડા-મોતી શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, જમીનની માપણી યોગ્ય રીતે કરાઈ નથી. તેઓએ રજૂઆત કરી છે કે 2017ના રિસર્વે-રીવિઝનના દરને આધારે વળતર નક્કી કરાતા વર્તમાન બજારભાવ અને નક્કી કરાયેલા દર વચ્ચે મોટો તફાવત ઊભો થયો છે. અનેક સ્થળોએ વીજ લાઇન, રસ્તા અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવાઈ હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન થયું નથી. આથી, ખેડૂતોએ જમીનનું પુનઃમૂલ્યાંકન કરી વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય અને વધારાનું વળતર ચૂકવવાની માંગ કરી છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં અમરાઈવાડી ખાતે ધારાસભ્યની ઓફિસ પાસે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે. અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બળપૂર્વક તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સમાધાન બાદ ધારાસભ્યએ યુવકને ઓફિસમાં માર્યો હોવાનો આક્ષેપધારાસભ્ય હસમુખ પટેલે થોડા દિવસ અગાઉ એક NRI યુવકને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં ધારાસભ્યની ઓફિસમાં કામ કરતી યુવતીનું વાહન NRI યુવકના વાહન સાથે અથડાયું હતું. જે બાદ અમરાઈવાડી પોલીસે યુવકની અટકાયત કરી હતી. જોકે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું, છતાં ધારાસભ્યએ યુવકને ઓફિસમાં બોલાવીને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા. ધારાસભ્યના કાર્યાલય બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધધારાસભ્ય સામે થયેલા આક્ષેપને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અમરાઈવાડી ખાતે ધારાસભ્ય હસમુખ પટેલની ઓફિસ નીચે જ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ધારાસભ્યના પોસ્ટર હાથમાં રાખીને સૂત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. કેટલાક કાર્યકરોએ ધારાસભ્યની ઓફિસમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે તમામની નીચેથી જ અટકાયત કરી દીધી હતી. ‘યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરીશું’યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે ધારાસભ્યની આ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. ધારાસભ્ય હસમુખ પટેલ રાજીનામું નહીં આપે તો આગામી દિવસમાં તેમના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. જ્યાં સુધી યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે. શાંત મામલાને પક્ષપલટો કરીને આવેલા નેતાએ સળગાવ્યોઆ સમગ્ર મામલે NRI યુવક અને યુવતી વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા એક સ્થાનિક નેતાએ આ મામલે રસ લઈને તેમના જૂના પક્ષમાં જાણ કરતા આ મામલો બહાર આવ્યો છે. પક્ષપલટો કરીને આવેલા નેતાએ પોતાને ભવિષ્યમાં ટિકિટ મળે અને પક્ષમાં હોદ્દો મળે તેવા અંગત સ્વાર્થ માટે શીત યુદ્ધ શરૂ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે NRI યુવકને પોલીસ પાસે ઉઠાવડાવ્યો, ઓફિસમાં લાવી લાફા માર્યા 12 ફેબ્રુઆરી (ગુરુવાર) એનઆરઆઇ સુનિલ પટેલ સીટીએમ પાસેની અમી અખંડાનંદ સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે એક મહિલાના વાહન સાથે અથડાયો હતો. આ નાની અમથી વાતમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ ગુંડાગીરી પર ઊતરી આવ્યા. કારણ કે એ મહિલા ધારાસભ્યની પૂર્વ કર્મચારી હતી. ધારાસભ્યના હુકમથી એ જ દિવસે, ગુરુવારે મોડી સાંજે પોલીસ યુવકને ઘરે જઈને પોલીસ સ્ટેશન હાજર થવાનો હુકમ બજાવી આવી હતી. સુનિલ શુક્રવારે પોલીસ સ્ટેશન ગયો અને પૂછપરછ થઈ જતાં પાછો આવ્યો હતો. જોકે પોલીસે ધોલધપાટ કર્યાનું પણ કહેવાય છે. એ પછી ડીસ્ટાફ પોલીસ યુવકના ઘરે ગઈ અને પકડીને ધારાસભ્યની ઓફિસ લઈ ગઈ. ઓફિસમાં પ્રવેશતાં પણ તે લંગડાતો જોવા મળ્યો. આદેશ હતો એટલે પીએસઆઇને ફોન બહાર મૂકવો પડ્યો. ધારાસભ્યે મારવાનું ચાલુ કર્યું. યુવક હાથ જોડીને માફી માગતો રહ્યો પણ ધારાસભ્ય ન પીગળ્યા. આખી ઘટના અમરાઈવાડીના ભાજપના આગેવાન ધર્મેન્દ્ર પટેલની હાજરીમાં બની હોવાનું કહેવાય છે. શનિવારે યુવકની ફ્લાઇટ હતી છતાં ધારાસભ્યે દાટી આપી, ‘કાલે સવારે મારી ઓફિસનું શટર બંધ હોય તોપણ બેગ સાથે આવી, બંધ શટર અને કેમેરા સામે માફી માગજે અને ફરી ભારત નહીં આવું એવું બોલજે, નહીં તો લંડનની ફ્લાઇટ પકડવા નહીં દઉં.’ યુવકની સોસાયટીના, ધારાસભ્યની ઓફિસના સીસીટીવી કેમેરા તપાસાય તો વાસ્તવિકતા બહાર આવી શકે. વાંચો સંપૂર્ણ સમાચાર
વડોદરા શહેરમાં ગત તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી ભવ્ય શિવજી કી સવારી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી ગુના આચરતી એક રીઢા ગુનેગારોની ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પ્રતાપનગર રોડ પર આવેલી નાની શાક માર્કેટ પાસે દર્શન કરવા આવેલા એક મહિલાના ગળામાંથી આશરે 17 ગ્રામ વજનની અને રૂ. 1,45,000ની કિંમતની સોનાની ચેઈન અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતાં. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા હતો, જેના આધારે પોલીસે ટોળકીને ઝડપી પાડી છે. ટોળકી પાલનપુરથી શિવજી કી સવારીમાં આવી'તીશિવજી કી સવારીમાં ઉત્સવ દરમિયાન ચેઈન સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી હતી અને એક મહિલાના ગળામાંથી ચેઈનની ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે પાલનપુરથી રિક્ષાઓમાં આવીને એક ટોળકી ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરીના ગુના આચરે છે. બે ઓટોરિક્ષા સાથે 6 શખ્સો ઝડપાયાઆ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વારસીયા રિંગ રોડ પાસે સવાદ ક્વાર્ટર્સના નાકે વોચ ગોઠવી હતી, જ્યાંથી શંકાસ્પદ હાલતમાં બે ઓટોરિક્ષા સાથે 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પકડાયેલા આરોપીઓમાં સાગર પરમાર, બાદલ કોળી, સુરજ ડાભી, સુખદેવ કોળી, નિદીયાબેન પરમાર અને બબીતાબેન કોળીનો સમાવેશ થાય છે, જેઓ મૂળ પાલનપુર (બનાસકાંઠા)ના રહેવાસી છે. મહિલા ચેઈન ચોરી કરે, અન્ય સાગરીતને આપે જેથી મુદ્દામાલ ન મળેપોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આ ગેંગ ખાસ કરીને મોટા ઉત્સવોમાં ભીડનો લાભ લેવા માટે પાલનપુરથી વડોદરા આવી હતી. મહિલા આરોપી નિદીયા પોતાની પાસે રાખેલા કટર વડે મહિલાઓના ગળામાંથી ચેઈન કાપતી હતી અને તુરંત જ અન્ય સાગરીતોને સોંપી દેતી હતી જેથી પકડાય તો પણ મુદ્દામાલ ન મળે. 4.61 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપીઓ પાસેથી ચોરીની સોનાની ચેઈન, ગુનામાં વપરાયેલા 3 લોખંડના કટર, 5 મોબાઈલ ફોન અને 2 ઓટોરિક્ષા મળી કુલ રૂ. 4,61,060નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ વાડી પોલીસ સ્ટેશન દ્વારા આ ગેંગની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યભરમાં SIRની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પણ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદીમાંથી વર્ષ 2025માં યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા મતદારો કરતા પાંચ લાખ જેટલા મતદારોના નામ કમી થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની SIR કામગીરી દરમિયાન તૈયાર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં કુલ 21,85,205 મતદારો જાહેર કર્યા હતા. જેમાં 34,890 મતદારોનો વધારા થતાં ફાઇનલ યાદીમાં કુલ 22,20,095 મતદારો નોંધાયા છે. વડોદરા જિલ્લાની 10 વિધાનસભામાં વર્ષ 2025માં 26 લાખ જેટલા મતદારો નોંધાયા હતા. જોકે SIRની કામગીરીમાં આ પૈકી 5 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. નવી યાદી મુજબ હવે 22,20,095 મતદારો છે. વર્ષ 2025માં 26,89,117 મતદારો હતા. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે આ નવી મતદાર યાદી મુજબની કવાયત હાથ ધરવામાં આવશે. નવી યાદી મુજબ મતદારો 2025ની ચૂંટણીમાં નોંધાયેલા મતદારો કમી થયેલા મતદારો https://electoralsearch.eci.gov.in/ પર જઈને પણ તમારું નામ મતદારયાદીમાં છે કે નહીં એ તપાસી શકાશે. આ વેબસાઇટમાં નામ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિઝર સમજાવી રહ્યા છીએ voters.eci.gov.in પર પણ તમે આ રીતે તમારું નામ ચેક કરી શકો છો
અમદાવાદ શહેરને ધૂળ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (CD) વેસ્ટના નિકાલ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે શહેરીજનોએ ઘરના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતા કાટમાળ (ડેબ્રિજ)ના નિકાલ માટે ચિંતા કરવાની જરૂર નથી. AMC દ્વારા માત્ર એક ફોન કોલ પર ઘરેથી કચરો ઉઠાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. 25 નિર્ધારિત સ્થળો પર વિનામૂલ્યે નિકાલની છૂટ AMCએ શહેરના 7 ઝોનમાં કુલ 25 પ્લોટ નક્કી કર્યા છે, જ્યાં નાગરિકો પોતાના મકાનનું રિપેરિંગ કે નવું બાંધકામ કરતી વખતે નીકળતો માટી-પુરણી અને બિલ્ડિંગ ડેબ્રિજનો સ્વખર્ચે નિકાલ કરી શકશે. આ નિર્ધારિત સ્થળો પર કચરો નાખવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ તમામ ઝોનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. નજીવી ફી સાથે હોમ કલેક્શનની સુવિધા અને હેલ્પલાઇન જો નાગરિકો પોતાના ઘરેથી કચરો ઉઠાવવા માંગતા હોય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ નજીવી ફી લઈને આ સેવા પૂરી પાડશે. આ માટે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી નીચે મુજબના ઝોન વાઈઝ નંબર પર સંપર્ક કરી શકાશે: મધ્ય ઝોન: 6357516301 ઉત્તર ઝોન: 6357516302 દક્ષિણ ઝોન: 6357516303 પૂર્વ ઝોન: 6357516304 પશ્ચિમ ઝોન: 6357516305 ઉત્તર-પશ્ચિમ ઝોન: 6357516306 દક્ષિણ-પશ્ચિમ ઝોન: 6357516307 પ્રદૂષણ નિયંત્રણ માટે આધુનિક કલેક્શન સેન્ટરો શહેરની એર ક્વોલિટી સુધારવા માટે AMCએ આધુનિક કલેક્શન સેન્ટરો તૈયાર કર્યા છે. આ સેન્ટરોમાં 'મિસ્ટ સિસ્ટમ' દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી કચરો ઠાલવતી વખતે ધૂળ અને રજકણો હવામાં ન ઉડે. આ વૈજ્ઞાનિક અભિગમથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. કડક દંડ અને વાહન જપ્તીની જોગવાઈ જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ કે બિન-નિર્ધારિત સ્થળોએ CD વેસ્ટ ફેંકનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. AMC દ્વારા ખાસ 'સ્વચ્છતા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે જે સતત ચેકિંગ કરશે. જો કોઈ ગેરકાયદેસર રીતે ડેબ્રિજ ફેંકતા પકડાશે, તો તેમની પાસેથી ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે અને જરૂર જણાયે વાહન પણ જપ્ત કરવામાં આવશે. કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ વ્યવસ્થાનો લાભ લે અને અમદાવાદને સ્વચ્છ બનાવવામાં સહભાગી બને.
બોટાદમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયો:માહિતી વિભાગે વિવિધ સાહિત્યનું વિતરણ કર્યું
બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્યનું વિતરણ કરાયું. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પ્રકાશનો તૈયાર કરવામાં આવે છે. આમાં સરકારનું મુખપત્ર ગુજરાત પાક્ષિક, રાષ્ટ્ર નાયક સરદાર, ગુજરાતનો મક્કમ નિર્ધાર, ગુજરાતનો આદિવાસી રંગ અને મહિલા સશક્તિકરણ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સાહિત્ય ઉપસ્થિત મહેમાનો, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓને વિતરિત કરાયું. આ પ્રકાશનોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. તે ગુજરાતની ગરિમા, સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે 'ઇન્ટિગ્રેટેડ સ્પાઇન કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી ગ્રુપ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં લંબર સ્પાઇન અને સ્પોન્ડિલોસિસ જેવી સ્પાઇન સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં વડોદરા અને પંચમહાલ જિલ્લાની વિવિધ ફિઝિયોથેરાપી કોલેજોના 350થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પાઇન રોગોના વધતા પ્રમાણ અને તેના ઉપચાર માટે સર્જન તથા ફિઝિયોથેરાપિસ્ટના સંકલિત અભિગમ દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ક્લિનિકલ કૌશલ્યોનો વિકાસ કરવો, સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ વચ્ચે સુમેળ વધારવો તથા સંશોધન પ્રત્યે પ્રેરણા આપવાનો હતો. કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર અને વૈજ્ઞાનિક પેપર પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિઓને પુરસ્કૃત કરવામાં આવી. આ આયોજનમાં પ્રિન્સિપાલ ડૉ. પ્રાશુ જૈન અને આયોજક ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીને પ્રમાણપત્ર વિતરણ સાથે કોન્ફરન્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ.
વેરાવળ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 સ્થિત આંબેડકર નગરના રહીશો દ્વારા આજે પાલિકા કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓ થાળી-વેલણ લઈ કચેરીએ પહોંચ્યા હતા અને નિંદ્રાધીન તંત્રને જગાડવા પ્રતિકાત્મક રીતે થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. સમાજના અગ્રણી રોહિત વાજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. હાડી હરિજન સમાજ પ્રભાસ પાટણના પ્રમુખ રામજીભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. રહેવાસીઓ પાલિકા ઉપપ્રમુખની ચેમ્બરમાં ધરણાં પર બેસી ગયા હતા અને લેખિત બાંહેધરીની માંગ પર અડગ રહ્યા હતા. અંદાજે અડધા કલાક બાદ પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના પ્રતિનિધિ જયદેવ જાની કચેરીએ દોડી આવ્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત થઈ હતી. ટેન્ડર થયા છતાં કામ શરૂ ન થતા અસંતોષઆંબેડકર નગરને GIDC સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ચાર વર્ષથી અધૂરો હોવાનું રહીશોનું કહેવું છે. રોડ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એજન્સી નિમણૂક પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આખરે પરિસ્થિતિની ગંભીરતા સમજી પાલિકા પ્રમુખ દ્વારા 15મા નાણાં પંચ હેઠળ આંબેડકર નગરના કામો વહેલી તકે શરૂ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હતી. લેખિત બાંહેધરી મળતા રહીશો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, એન્જિનિયર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. રોડનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. પ્રમુખના પ્રતિનિધિ દ્વારા પણ પ્રશ્નનો ઉકેલ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે આંબેડકર નગરના રહીશો નજર રાખી રહ્યા છે કે લેખિત બાંહેધરી બાદ રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામો હકીકતમાં ક્યારે શરૂ થાય છે.
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પાટણ શહેરમાં 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉની સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે, જેનાથી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં વધારો થયો છે. પાટણ એક ઐતિહાસિક અને પૌરાણિક શહેર છે, જ્યાં રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ જેવા વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળો આવેલા છે. રેલવે સ્ટેશન અને નવા બસ સ્ટેશનના વિકાસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પાટણ આવે છે. જાહેર પરિવહનના અભાવે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને મહિલાઓને મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. રજૂઆતમાં જણાવાયું છે કે, પાટણ નગરપાલિકા હસ્તકની જૂની સિટી બસ સેવા હાલમાં સંપૂર્ણપણે બંધ છે. જો સરકાર 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' અંતર્ગત ગ્રાન્ટ ફાળવી નવી બસો શરૂ કરે, તો પાટણના લોકોને આર્થિક રાહત મળશે. આ સેવા શહેરના સુવ્યવસ્થિત વિકાસમાં મદદ કરશે અને ખાનગી વાહનોથી થતા અકસ્માતોનો ભય ઘટાડશે.
સુરત ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં IIT ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર વિપ્ર ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વાર્ષિક 12% ના આર્થિક વિકાસ દર (GDP) સાથે આગળ વધવું પડશે. આ માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું અને રાષ્ટ્રીય પરિયોજનાઓનું સમયસર અમલીકરણ કરવું અત્યંત આવશ્યક છે. ખેડૂતોની આવક વધારવાનો માર્ગ વિપ્ર ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે 'આત્મનિર્ભર ગામ' દ્વારા જ 'વિકસિત ભારત' શક્ય છે. જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને અટલ ભૂજલ યોજના જેવી યોજનાઓનું સફળ અમલીકરણ થાય, તો દેશના 10 કરોડ ખેડૂત પરિવારોની વાર્ષિક આવક 24,000 રૂપિયાથી વધીને 1.5 થી 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ખેડૂતોની વધેલી ખરીદશક્તિનો સીધો લાભ દેશના 9 કરોડ લઘુ ઉદ્યોગોને (MSMEs) મળશે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ચીજવસ્તુઓની માંગ વધશે. જળ સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા દેશના 80 કરોડ ગ્રામીણ લોકોમાં જાગૃતિ લાવવા માટે વિપ્ર ગોયલે રાષ્ટ્રીય સ્તરે અભિયાન શરૂ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે ભૂગર્ભ જળના અતિશય દોહનને કારણે ખેતીલાયક જમીન બંજર બની શકે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે તેમણે 'ખેતતલાવડી મૉડલ' સૂચવ્યું છે. જો ખેડૂત પોતાની જમીનના 5% હિસ્સામાં ખેતતલાવડી બનાવે અને 1% જમીનમાં સોલાર પેનલ લગાવે, તો તે સિંચાઈ અને વીજળી બંને બાબતે આખું વર્ષ આત્મનિર્ભર રહી શકે છે. સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની 60% માંગ ગામડાઓમાંથી આવતી હોવાથી ગામડાઓની સમૃદ્ધિ શહેર માટે પણ હિતકારી છે. છરેડા ગામનું સફળ મૉડલ અર્થશાસ્ત્ર, ગણિત અને કોમ્પ્યુટરમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિપ્ર ગોયલે વિદેશની મોટી નોકરીઓ છોડી ગ્રામીણ વિકાસનો રાહ પસંદ કર્યો છે. વર્ષ 2022 માં તેમણે રાજસ્થાનના દૌસા જિલ્લાનું છરેડા ગામ દત્તક લીધું હતું. જ્યાં પાણીનું સ્તર 500-700 ફૂટ નીચે હતું, ત્યાં 8 કરોડ રૂપિયાના ખર્ચે 300 ખેતતલાવડી બનાવી જમીની પરિવર્તન આણ્યું છે. આ મૉડલથી ગામના ખેડૂતોની આવકમાં કુલ 9 થી 10 કરોડ રૂપિયાનો વધારો થયો છે અને ગામમાં 100% રોજગારી સાથે સ્થળાંતર અટક્યું છે. તેમની આ કામગીરી બદલ તેમને 'સર્વશ્રેષ્ઠ ગ્રામીણ વિકાસ પહેલ' અને 'સર્વશ્રેષ્ઠ સોશ્યલ ઈમ્પેક્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જામ સાહેબ શત્રુશલ્યાસિંહનો જન્મદિવસ:તબિયત નાદુરસ્ત હોવાથી શુભેચ્છકોને નહીં મળે
જામનગરના જામ સાહેબ શત્રુશલ્યાસિંહે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમનો જન્મદિવસ તિથિ મુજબ 19મી ફેબ્રુઆરી અને તારીખ મુજબ 20મી ફેબ્રુઆરીના રોજ છે. તેઓ બંને દિવસોની સાદગીપૂર્વક ઉજવણી કરશે. જોકે, જામ સાહેબે તેમની નબળી તબિયતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ શુભેચ્છકોને વ્યક્તિગત રીતે મળી શકશે નહીં. આ બદલ તેમણે ક્ષમા પણ માંગી છે. તેમણે શુભેચ્છકોને નમ્ર વિનંતી કરી છે કે જો તેઓ તેમના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા આવે, તો સામાન્ય ચા-પાણી અને નાસ્તો કર્યા બાદ પોતાનું નામ ચોક્કસથી નોંધાવે. જામ સાહેબે સ્પષ્ટ કર્યું કે શુભેચ્છકોની હાજરીની નોંધ જ તેમના માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ અને આનંદનું કારણ બનશે.
આણંદ જિલ્લામાં અંતિમ મતદાર યાદી જાહેર:કુલ 15,89,187 મતદારોનો સમાવેશ, ઓનલાઈન ચકાસણી ઉપલબ્ધ
આણંદ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કુલ 15,89,187 મતદારોનો સમાવેશ થાય છે. કલેકટર કચેરી આણંદ ખાતે નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈએ પત્રકારોને આ અંગેની વિગતો આપી હતી. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) શરૂ થતા પહેલા જિલ્લામાં કુલ 18,12,327 મતદારો હતા. પ્રથમ તબક્કાની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદીમાં કુલ 15,80,547 મતદારો દાખલ કરાયા હતા. નોટિસ અને અપીલ સુનાવણીના તબક્કા પછી, પુરાવાના અભાવે અથવા પાત્રતા ન ધરાવતા હોવાથી 10,966 મતદારોના નામ અંતિમ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. SIR સમયગાળા દરમિયાન મળેલા ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 પરની કાર્યવાહીના અંતે 19,606 નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, SIR ના તમામ તબક્કા બાદ પાત્રતા ધરાવતા 15,69,581 મતદારો અને નવા ઉમેરાયેલા 19,606 મતદારો મળીને કુલ 15,89,187 મતદારોના નામનો સમાવેશ કરી અંતિમ મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આણંદના નાગરિકો પોતાનું નામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને ઓનલાઈન https://ceo.gujarat.gov.in પર ચકાસી શકે છે. વિધાનસભા મતવિસ્તાર મુજબ મતદારોની વિગતો આપતા દેસાઈએ જણાવ્યું કે, 108 ખંભાત વિધાનસભામાં 2,18,647, 109 બોરસદ વિધાનસભામાં 2,39,098, 110 આંકલાવ વિધાનસભામાં 2,06,899, 111 ઉમરેઠ વિધાનસભામાં 2,42,836, 112 આણંદ વિધાનસભામાં 2,56,494, 113 પેટલાદ વિધાનસભામાં 2,19,332 અને 114 સોજિત્રા વિધાનસભા મત વિભાગમાં 2,05,854 મતદારોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં કુલ 51,990 ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં ફોર્મ નંબર 6 ના 23,106, ફોર્મ નંબર 7ના 14,466 અને ફોર્મ નંબર 8ના 14,418 ફોર્મ્સનો સમાવેશ થાય છે. તેમાંથી નેટ 19,606 નવા મતદારોના નામનો અંતિમ મતદાર યાદીમાં સમાવેશ કરાયો છે. જે લાયક મતદારોના નામ પુરાવાના અભાવે આજે પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ન હોય, તેઓ ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ પુરાવા અને ડીકલેરેશન ફોર્મ સહિત ફોર્મ-6 ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ ફરીથી નોંધાવી શકે છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, ચૂંટણી શાખાના કર્મચારીઓ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
દરિયાના મોજાં ગમે તેટલા ઊંચા હોય, પણ યુવાનોના આત્મવિશ્વાસ આગળ તે વામણા સાબિત થશે. આ વાતને સાબિત કરવા સાહસ અને શૌર્યની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફરીવાર યુવા શક્તિ પોતાની તાકાત બતાવવા જઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા એક અત્યંત સાહસિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના યુવા સ્વિમરો સોમનાથથી દેલવાડા સુધીના 81 નોટિકલ માઈલના દરિયાઈ અંતરને ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયાકિંગ દ્વારા પૂર્ણ કરશે. 10 દિવસનું સાહસિક અભિયાનઆ એડવેન્ચર એક્સપિડિશન આગામી 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 માર્ચ સુધી ચાલશે. આ 10 દિવસના સમયગાળા દરમિયાન સ્વિમરો દરિયાના ઉછળતા મોજાં અને પડકારો વચ્ચે સતત આગળ વધશે. અભિયાનમાં કુલ 7 સ્વિમરો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 3 સ્વિમરો મુખ્યત્વે દરિયામાં સ્વિમિંગ કરીને આ અંતર કાપશે. આ દરમિયાન તેઓ સુત્રાપાડા, દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ લાઈટ હાઉસ, ઘોઘલા અને સીમોર બીચ જેવા વિવિધ દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસીએશને સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 અંતર્ગત સોમનાથથી દેલવાડા સુધીના 81 નોટિકલ માઈલના ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયાકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સ્વિમર તરીકે 19 વર્ષીય વેનેસા શુક્લા, 15 વર્ષીય પાર્થિવ મેઘાણી, 14 વર્ષીય દિવ્યમ ચોટલિયા ભાગ લેશે. અને કાયાકિંગ ટીમમાં 18 વર્ષીય જિનલ પિત્રોડા, 20 વર્ષીય આર્યન જોશી, 18 વર્ષીય વેદાંત જોશી અને 18 વર્ષીય સિદ્ધરાજ સોલંકી પોતાની કુશળતા દર્શાવશે. આ તમામ ખેલાડીઓ ઓપન વોટર સ્વિમિંગ અને કાયાકિંગનો બહોળો અનુભવ ધરાવે છે. અભિયાનમાં ખેલાડીઓ સુત્રાપાડા, મુળ દ્વારકા અને ઘોઘલા જેવા દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થઈને સીમર બીચ પર પોતાનું અભિયાન પૂર્ણ કરશે. સ્વિમરોની તપસ્યા અને તૈયારીઆ અભિયાનમાં જોડાઈ રહેલી સ્વિમર વેનેસા શુક્લાએ દિવ્યભાસ્કરને પોતાની તૈયારીઓ વિશે જણાવ્યું હતું કે, અમે આ માઈલસ્ટોન સિદ્ધ કરવા માટે ઘણા સમયથી કઠિન પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારું દરરોજનું 4 કલાકનું સ્વિમિંગ ટ્રેનિંગ સેશન હોય છે. આ ઉપરાંત વીકેન્ડમાં અમે સીમોર બીચ અને પોરબંદર જેવા સ્થળોએ જઈને 15 થી 20 કિલોમીટર સ્વિમિંગ કરી દરિયાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરીએ છીએ. વેનેસાએ વધુમાં જણાવ્યું કે, હું 7 વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ સાથે જોડાયેલી છું. અગાઉ મેં ચોરવાડ થી વેરાવળ અને પોરબંદરમાં યોજાતી સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે. તાજેતરમાં 8 નોટિકલ માઈલની ઈવેન્ટમાં હું ત્રીજા સ્થાને રહી હતી. જોકે, દરિયો ક્યારેય પ્રિડિક્ટેબલ હોતો નથી, તેથી સ્વિમિંગ પૂલ જેવું વાતાવરણ અહીં મળતું નથી. આ એક મોટું રિસ્ક છે, પરંતુ સાહસ અને હિંમત સાથે અમે આ પડકારને ઝીલવા તૈયાર છીએ. રાજકોટના પ્રતિભાશાળી સ્વિમર આર્યન જોશીએ આ સાહસિક દરિયાઈ અભિયાન અંગે દિવ્યભાસ્કર સમક્ષ વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ કોઈ સ્પર્ધા નથી પરંતુ એક એક્સપિડિશન છે. જેમાં સહભાગીઓ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. આ સાહસિક સફરમાં કુલ 7 સભ્યો સામેલ છે, જેમાં 3 તરવૈયાઓ અને 4 કાયાકર્સ પણ પોતાની કુશળતા બતાવશે. 150 કિમી લાંબા આ દરિયાઈ માર્ગને કાપવા તમામ સભ્યોએ સઘન તૈયારીઓ કરી છે. ખાસ કરીને તરવૈયાઓ કે જેઓ પહેલેથી જ કોમ્પિટિટિવ સ્વિમિંગ સાથે જોડાયેલા છે, તેઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જ્યારે કાયાકર્સ પણ આ પ્રોગ્રામ નક્કી થયો ત્યારથી જ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આર્યન જોશીએ પોતાના અનુભવો વિશે વાત કરતા કહ્યું હતું કે, તેઓ બાળપણથી જ સ્વિમિંગ સાથે જોડાયેલા છે. તેમના પિતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગારમાં કોચ હોવાથી તેમને નાનપણથી જ પાણી પ્રત્યે લગાવ રહ્યો છે અને તેઓ છેલ્લા 11 વર્ષથી કોમ્પિટિટિવ સ્વિમિંગમાં સક્રિય છે. 81 નોટિકલ માઈલના આ પડકારજનક અભિયાનમાં અનેક જોખમો રહેલા છે. મારા અગાઉના એક્સપિડિશનના અનુભવ પરથી કહી શકાય કે દરિયામાં ઉછળતા મોજાં અને વિપરીત પરિસ્થિતિઓને કારણે સ્વિમિંગ કરવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે, જેની સીધી અસર શરીર પર પડે છે અને અસહ્ય દુખાવો પણ થતો હોય છે. આ ઉપરાંત દરિયાઈ જીવસૃષ્ટિ જેમ કે જેલીફિશ અને શાર્ક જેવા પ્રાણીઓનું પણ જોખમ રહેલું છે, છતાં તમામ સભ્યો હિંમતપૂર્વક આ પડકારને ઝીલી લેવા તૈયાર છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિશેષ આયોજનઆ અંગે માહિતી આપતા નિલેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા આ વર્ષને 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 1026 થી 2026 સુધીના અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રમેશ ટીલાળાના પ્રોજેક્ટ ચેરમેન પદે અને એસો. પ્રમુખ તથા પૂર્વ રમતગમત મંત્રી ઉમેશ રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત 21 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવશે અને 2 માર્ચના રોજ સિમર બીચ, દેલવાડા ખાતે પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં કાર્યક્રમનું સમાપન થશે. સ્વચ્છતા અને ભક્તિનો ત્રિવેણી સંગમઉલ્લેખનીય છે કે, આ અભિયાન માત્ર એક રમત કે સાહસ નથી, પરંતુ તેની પાછળ એક ઉમદા ઉદ્દેશ્ય રહેલો છે. રાજકોટના આ યુવાઓ આ સાહસિક સફર દ્વારા લોકોમાં સ્વચ્છતા - ભક્તિનો સંદેશ ફેલાવશે. સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શરૂ થનારું આ અભિયાન યુવાનોમાં સાહસિક વૃત્તિ વધારવાની સાથે પર્યાવરણ અને દરિયાઈ સફાઈ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ પણ કરશે. આ અભિયાનમાં કાયાકિંગની ટીમ સ્વિમરોની સુરક્ષા અને માર્ગદર્શન માટે સાથે રહેશે.
અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય અને યાદી સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ આખરી મતદારયાદી અમરેલી જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ, તમામ મતદાન મથકો અને નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે. સેવા મતદારો માટેના છેલ્લા ભાગની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે, જેથી મતદારો પોતાના નામની ચકાસણી કરી શકે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિધાનસભા મતવિસ્તાર મુજબ મતદારોની સંખ્યા જણાવી હતી. 94-ધારીમાં 2,07,209 મતદારો, 95-અમરેલીમાં 2,49,868 મતદારો, 96-લાઠીમાં 2,10,516 મતદારો, 97-સાવરકુંડલામાં 2,25,359 મતદારો અને 98-રાજુલામાં 2,54,248 મતદારોનો સમાવેશ થયો છે. નોંધનીય છે કે 19.12.2025 ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દારૂપ મતદારયાદીની સરખામણીએ આખરી યાદીમાં કુલ 14,384 મતદારોનો વધારો નોંધાયો છે. આ વધારો મતદાર નોંધણી પ્રક્રિયા પ્રત્યે નાગરિકોમાં વધતી જાગૃતિ અને સક્રિય ભાગીદારી દર્શાવે છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ આ સઘન સુધારણા પ્રક્રિયા લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહી છે.
ભોપાલની સુપ્રતિષ્ઠિત રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 5મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન શોધ-શિખર: 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 5 મહત્વના પુરસ્કારો જીતવાની મૂલ્યવાન સિદ્ધિ મેળવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી 800થી વધુ રિસર્ચ પેપર્સ, 86 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 49 જેટલા નવા બિઝનેસ આઈડિયા રજૂ કરવામાં આવ્યા હતા. ગણપત યુનિવર્સિટીના સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ સ્ટડીઝના માર્ગદર્શન હેઠળ કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા 16 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ અને 5 રિસર્ચ પેપર્સમાંથી કુલ 5 એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. ઇનોવેટિવ પ્રોજેક્ટ શ્રેણીમાં ઝળહળતી સફળતા પ્રોજેક્ટ વિભાગમાં વિદ્યાર્થીઓએ તેમની મૌલિકતા અને ટેકનોલોજીના સચોટ ઉપયોગ દ્વારા જજનું દિલ જીતી લીધું હતું: અલ્ટ્રાસોનિક ગ્લાસિસ ફોર બ્લાઇન્ડ: હિમાંશુ માડમ અને પ્રશાંત સિંઘ દ્વારા રજૂ કરાયેલા આ પ્રોજેક્ટને 'પ્લેટિનમ' પ્રાઈઝ અને 20,000 રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન પ્રો. નિધિ એમ. જોશીએ કર્યું હતું. સ્કાય ટ્રેક AI: વિવેક જયંતીભાઈ નાયીના આ પ્રોજેક્ટને 'સિલ્વર' પ્રાઈઝ અને 10,000 રૂપિયાનું ઇનામ મળ્યું હતું. મેન્ટર તરીકે ડૉ. મેઘના પટેલ અને પ્રો. ધવલ રાવલ હતા. સ્માર્ટ ફાર્મિંગ એગ્રિકલ્ચર એપ્લિકેશન રોબોટ: સારંગ કે. પટેલ, વિક્રમસિંહ ઝાલા અને સૌમ્ય જે. પટેલે પ્રો. દર્શન આર. પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ રજૂ કરી કોન્સોલેશન પ્રાઈઝ અને 5,000 રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. ઓટોમેટેડ પાઇરેટ ડિટેકશન એન્ડ ડિફેન્સ સિસ્ટમ: સંપ્રિત સહા અને આયુષકુમાર સિંઘે પ્રો. અરુણકુમાર રથીના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટ બદલ કોન્સોલેશન પ્રાઈઝ અને 5,000 રૂપિયા જીત્યા હતા. સંશોધન ક્ષેત્રે પ્લેટિનમ એવોર્ડ રિસર્ચ પેપરની શ્રેણીમાં પણ ગણપત યુનિવર્સિટી અગ્રેસર રહી હતી. દેવર્ષી પટેલ અને ડૉ. મેઘના પટેલ દ્વારા રજૂ કરાયેલા જીસીએન બેઝ ગ્રાફ ક્લાસિફિકેશન નામના સંશોધન પેપરને 'પ્લેટિનમ' પ્રાઈઝ અને 10,000 રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા અભિનંદન વિદ્યાર્થીઓની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા, ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. રાકેશ પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ અને રિસર્ચ ડાયરેક્ટર પ્રો. ડૉ. અજયકુમાર ગુપ્તાએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. ભોપાલની ટાગોર યુનિવર્સિટીએ પણ સામાજિક રીતે ઉપયોગી સંશોધનો માટે ગણપત યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાની વિશેષ સરાહના કરી હતી.
રાજકોટ મહાપાલિકાનાં વર્ષ 2026-27નાં રૂ. 3604.90 કરોડના અંદાજપત્રને મંજૂરી આપવા માટે આવતીકાલે બુધવારે ખાસ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ વર્તમાન ટર્મનું અંતિમ બજેટ બોર્ડ બની રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા રજૂ કરવામાં આવેલું આ બજેટ ચૂંટણીલક્ષી છે, કારણ કે કમિશનરે સૂચવેલા રૂ. 95 કરોડના કરબોજને ફગાવીને પ્રજા પર એક પણ રૂપિયાનો નવો વેરો લાદવામાં આવ્યો નથી. આવતીકાલના બોર્ડમાં શાસક પક્ષ પોતાની પાંચ વર્ષની સિદ્ધિઓનું ભાથું રજૂ કરશે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) પ્રોજેક્ટ્સ અને અન્ય મુદ્દે શાસકોને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે, જેના પગલે બોર્ડમાં ભારે ગરમાગરમીના સંકેતો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ મ્યુ. કમિશનર દ્વારા સૌપ્રથમ રૂ. 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં રૂ. 9.20 કરોડનો સામાન્ય વધારો સૂચવીને કુલ રૂ. 3604.90 કરોડનું કદ નક્કી કર્યું છે. આ અંદાજપત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા એક દાયકા બાદ મિલકત વેરા અને પાણી વેરામાં મોટી રાહત આપવામાં આવી છે. બાકી રહેલા વેરાના ભારણને હળવું કરવા માટે રહેણાંક અને બિન-રહેણાંક મિલકતોના ચડત વ્યાજમાં રૂ. 5,000 સુધીની માફી અને પાણી વેરાના વ્યાજમાં પણ રૂ. 5,000 સુધી માફી જાહેર કરવામાં આવી છે. નાગરિકોને તાત્કાલિક રાહત મળી શકે અને શાસકોને તેનો ચૂંટણીમાં પણ લાભ મળી શકે તેના માટે આ યોજનાનો અમલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહિલાઓ-મધ્યમ વર્ગ માટે નવી યોજનાઓની વણઝાર શાસક પક્ષે આ બજેટમાં મહિલા મતદારોને રીઝવવા માટે ખાસ 'પિંક બસ' અને રાહત દરના પાસની વ્યવસ્થા કરી છે. રૂ. 1,000 ના વાર્ષિક પાસ પર મહિલાઓ આખું વર્ષ સિટી બસ અને BRTS માં મફત મુસાફરી કરી શકશે. ઉપરાંત, રેસકોર્સના બ્યુટીફિકેશન અને રિનોવેશન માટે મોટું આયોજન છે. નાના મવા બ્રિજ નીચે ગેમ ઝોન અને કાફેટેરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવા દરખાસ્ત છે. વડીલોના નામે વૃક્ષારોપણ, ઇલેક્ટ્રિક બસ માટે નવા ચાર્જિંગ સ્ટેશન, અને વોર્ડ નંબર 12 માં નવો સ્વિમિંગ પુલ જેવી કુલ 23 નવી યોજનાઓ બજેટનો હિસ્સો છે. શહેરના ટ્રાફિક પ્રશ્નોના ઉકેલ માટે નવા બ્રિજના પાયલોટ સ્ટડી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. PPP મુદ્દે વિપક્ષનો આક્રમક મિજાજ આવતીકાલના જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાના નેતૃત્વમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. કોંગ્રેસનું કહેવું છે કે બજેટમાં સમાવિષ્ટ 14 નવી યોજનાઓમાંથી 7 યોજનાઓ PPP ધોરણે છે. સેન્ટ્રલ ઝોન બિલ્ડિંગનું રિનોવેશન અને 'નમો વન' જેવા પ્રોજેક્ટ્સ ખાનગી એજન્સીઓને સોંપવા સામે વિપક્ષ સવાલ ઉઠાવશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મહાપાલિકા પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે અને શહેરની મિલકતો ખાનગી હાથોમાં સોંપી રહી છે. જોકે, વ્યાજમાફી અને મહિલાઓ માટેની બસ સેવા જેવી લોકભોગ્ય યોજનાઓને વિપક્ષે આવકારવાની પણ તૈયારી બતાવી છે, પરંતુ અમલીકરણના મુદ્દે સરકારને ભીંસમાં લેશે. બિલ્ડર લોબીને રાહત અને TRP અગ્નિકાંડની અસર રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લાવર બેડ (આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ) ના નિયમિતિકરણનો મુદ્દો ગાજ્યો હતો. આ બજેટમાં બિલ્ડરોને રાહત આપતા રેગ્યુલરાઈઝેશન ફીમાં હપ્તા પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે બિલ્ડિંગોમાં રૂ. 50 લાખથી વધુની ફી ભરવાની થાય છે, તેઓ એક વર્ષના ગાળામાં ચાર ત્રિમાસિક હપ્તામાં નાણાં ભરી શકશે. આ માટે બિલ્ડર લોબી દ્વારા લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી, જેનો અંતે આ બજેટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલની 5 વર્ષની ટર્મનું કાલે અંતિમ જનરલ બોર્ડ છે. તેમાં બજેટ સિવાયની કોઇ ચર્ચા કે પ્રશ્નોત્તરી હોતા નથી. આમ છતાં બોર્ડના એજન્ડા પર કુલ 11 દરખાસ્તો છે, જેમાં ચાલુ વર્ષનું રિવાઈઝ્ડ બજેટ અને આગામી વર્ષનું બજેટ બહાલ કરવા ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રનો પણ સમાવેશ થાય છે. આ ટર્મનું છેલ્લું બોર્ડ હોવાથી શાસક પક્ષના 68 અને વિપક્ષના 4 કોર્પોરેટરો વચ્ચે વિકાસકામોના જશ ખાટવા બાબતે શાબ્દિક યુદ્ધ થવાની પૂરેપૂરી શક્યતા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે વીબીજી-રામજી નવા અધિનિયમ અને યોજના જાગૃતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અધિનિયમ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો તેમજ લાભાર્થીઓ સુધી તેની માહિતી પહોંચાડવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હિંમતભાઈ વિઠ્ઠાણી અને તાલુકા વિકાસ અધિકારી એ. એ. વાળાએ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા આ નવા અધિનિયમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સશક્ત બનાવવા અને પારદર્શક રીતે લાભો પહોંચાડવા માટે વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. વધુમાં, અધિકારીઓએ માહિતી આપી કે આ સપ્તાહ અંતર્ગત ગામેગામ જાગૃતિ કાર્યક્રમો, માર્ગદર્શન શિબિરો અને લાભાર્થીઓ સાથે સીધી મુલાકાતો યોજવામાં આવશે. આનાથી યોજનાઓ અંગેની શંકાઓનું નિવારણ થશે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકશે. આ પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે યોજનાની અસરકારક અમલવારી માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ જાગૃતિ સપ્તાહથી ગઢડા તાલુકામાં સરકારી યોજનાઓ પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિમાં વધારો થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, આ વીબીજી-રામજી નવો અધિનિયમ અને યોજના જૂની મનરેગા યોજના જેવી જ છે. આ નવી યોજના અંતર્ગત ગઢડા તાલુકાના અનેક લોકોને આગામી સમયમાં લાભ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર નજીક ચામુંડાનગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આ અંગે રજૂઆત મળતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ઘરે-ઘરે ક્લોરીનેશન સહિતની કામગીરી શરૂ કરાઇ છે. આ વિસ્તારમાંથી ઝાડાના 4 દર્દી મળી આવ્યા હતા અને હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગની ટીમ અંડરગ્રાઉન્ડ લીકેજ શોધવા બે દિવસથી કામે લાગી છે. આરોગ્ય વિભાગનું 144 ઘરમાં સર્વેલન્સચામુંડાનગરમાં 40થી વધુ પરિવાર રહે છે. અહીં પાણીજન્ય રોગચાળા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ચામુંડાનગર અનેઆજુબાજુના વિસ્તારમાં કુલ 144 ઘર અને 673 વસ્તીમાં સર્વેલન્સ કરાયું હતું. જેમાં 9 ક્લોરીન ટેસ્ટ, 4 બેક્ટેરિયા લોજિકલ ટેસ્ટ (પાણીના સેમ્પલ) અને 760 કલોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. ઝાડાના ચારેય દર્દીની તબિયત સારી છે. વિસ્તારમાં એક સપ્તાહ સુધી સર્વેલન્સ ચાલુ રહેશે, તેમ મનપાના ઈ. આરોગ્ય અધિકારી ડૉ. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું. ક્લોરીનનાં બેથી ત્રણ ટીપાં નાખીને પાણી પીવા જણાવાયુંવોટરવર્કસ ઇજનેરે કહ્યું કે, ચામુંડાનગરમાં લીકેજ શોધવા માટે બે દિવસમાં ત્રણ ખાડા કર્યા છે, ત્યાં સુધી પાણી ચોખ્ખું મળી રહ્યું છે. હવે આગળ ખોદકામ કરીને સર્ચ કરવામાં આવી રહ્યો છે. સોસાયટીઓમાં પડતી ગલીના કોઈ જોડાણમાં પણ લીકેજ હોઈ શકે, કે ઇન્ટરલિંકિંગ જોડાણમાં રિટર્નમાં લીકેજ હોઈ શકે, એટલે એ દિશામાં પણ સર્ચ કરીએ છીએ. દરેક ઘરે પીવાના પાણીના માટલામાં ક્લોરીનનાં બેથી ત્રણ ટીપાં નાખીને પીવા જણાવ્યું છે. અઠવાડિયાથી પાણીની સમસ્યાઃ ભારતીબેનસ્થાનિક રહીશ જેસવાલ ભારતીબેને જણાવ્યું કે, એક અઠવાડિયાથી પાણી ગંદુ આવી રહ્યું છે. અહીંયા આજુબાજુમાં લોકો પાણીના કારણે બીમાર થઈ ગયા છે. એક બિમારીનો કેસ મારા ઘરમાં જ છે. મારા દીકરાને વોમીટીંગની તકલીફ થઈ ગઈ છે. પાણી બહારથી લાવવું પડે છેઃ કોકિલાબેનસ્થાનિક રહેવાસી કોકિલાબેને જણાવ્યું કે, અમારે અહીંયા ગંદુ પાણી આવે છે. એક અઠવાડિયાથી ખરાબ પાણી આવી રહ્યું છે. હાલમાં પીવાનું અને વાપરવા માટેનું પાણી બહારથી લાવવું પડે છે. કાલે પાણીનું ટેન્કર મંગાવ્યું હતું. પીવાનું પાણી RO પ્લાન્ટમાંથી લાવીએ છીએ. પાણી વાપરવા માટે ટેન્કર માગવવું પડે છેઃ હીનાબેનજેસવાલ હીનાબેને જણાવ્યું કે, અમારે અઠવાડિયાથી આ પાણીની તકલીફ છે. પાણી બહુ ગંદુ આવે છે. પીવાનું પાણી બહારથી લાવીએ છીએ. પાણી વાપરવા માટે ટેન્કર માગવવું પડે છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા બાદ તેઓ અહીંયા કામગીરી ચાલુ કરી છે. મારા ઘરમાં બે લોકો બીમાર છે.
બોટાદમાં આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલનો વિરોધ કર્યો:અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ડીલ રદ કરવાની માંગ
બોટાદમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભારત સરકાર અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે AAP કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડીલ રદ કરવાની માંગ કરી હતી. પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકારરૂપ છે. ખાસ કરીને, ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે આયાત કરવાની મંજૂરી ભારતના પશુપાલકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવેદનપત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો હતો કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત રહેશે, તો ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ પર અસર થવાથી કપાસની ખેતી અને ખેડૂતોની આવક પર પણ આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવી રહી નથી. બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે જો આ ડીલ રદ નહીં થાય તો રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો પ્રયાસ થતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા ભેજાબાજે કમિશનરનો ફોટો વોટ્સએપ ડીપી (DP) માં રાખ્યો હોવાનો પાલિકાના ગ્રુપમાં સ્ક્રીનશોર્ટ વાઇરલ થતા અનેક ચર્ચાઓ ચાલુ થઈ છે. વિદેશી નંબર પર કમિશનરનું ડીપીમળતી માહિતી મુજબ, સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. નાગરાજને હજુ થોડા દિવસો પહેલા જ ચાર્જ સંભાળ્યો છે. આ તકનો લાભ લઈને સાયબર ગુનેગારોએ તેમનો ફોટો એક વિદેશી મોબાઈલ નંબર (+84 562370432) પર પ્રોફાઇલ પિક્ચર તરીકે સેટ કર્યો છે. વિયેતનામનો કન્ટ્રી કોડ ધરાવતા આ નંબર પર કમિશનરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોર્ટ પાલિકાના વિવિધ ગૃહમાં વાઇરલ થયો છે. જ્યારે આ નંબર અધિકારીઓના મોબાઈલમાં દેખાયો, ત્યારે શરૂઆતમાં ઘણા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, નંબર વિદેશનો હોવાથી અને તેની ભાષા શંકાસ્પદ હોવાથી કર્મચારીઓ તુરંત ચેતી ગયા હતા. પાલિકાના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં આ નંબરનો સ્ક્રીનશોટ શેર કરીને તમામ કર્મચારીઓને સાવધ રહેવા અને આ નંબર પરથી આવતા મેસેજને અવગણવા તેમજ નંબર બ્લોક કરવા માટે તાકીદ કરવામાં આવી છે. અગાઉ પણ બંછાનિધિ પાનીના નામે ઠગાઈનો પ્રયાસ થયો હતોસુરત મહાનગરપાલિકામાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ મે 2022માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે પણ આ જ રીતે ઠગાઈનો પ્રયાસ થયો હતો. તે સમયે ઠગોએ કમિશનરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના કર્મચારીઓ અને શહેરના અગ્રણીઓ પાસે એમેઝોન ગિફ્ટ વાઉચર અને રોકડ રકમની માંગણી કરી હતી. તે સમયે પણ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી હતી. હવે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર નવા કમિશનરના નામે આવો જ ખેલ શરૂ થયો છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાજકોટ ડિવિઝનની 5 ઇમારતોને પ્રતિષ્ઠિત ‘શૂન્ય (Shunya)’ અને ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ લેબલ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન અને વરિષ્ઠ ડિવિઝનલ વિદ્યુત ઇજનેર (પાવર) રજની યાદવ તથા તેમની ટીમના સમર્પિત પ્રયાસોનું પરિણામ છે. આધુનિક ટેકનોલોજી અને સોલાર પાવરનો ઉપયોગ ડિવિઝન દ્વારા રેલવે પરિસરોમાં ઊર્જા બચત માટે અનેક આધુનિક પગલાં લેવામાં આવ્યા છે. આ ઇમારતોમાં BLDC પંખા, સંપૂર્ણ LED લાઇટિંગ સિસ્ટમ અને 5-સ્ટાર રેટેડ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઊર્જાના સ્વચ્છ ઉત્પાદન માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ અને સોલાર વોટર હીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને, પ્રકાશ વ્યવસ્થાના ચોકસાઈપૂર્વક નિયંત્રણ માટે 'Astronomical Timers' લગાવવામાં આવ્યા છે, જે સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ આપમેળે લાઇટિંગનું સંચાલન કરે છે. સન્માનિત થયેલી ઇમારતોની યાદી BEE દ્વારા જાહેર કરાયેલા રેટિંગ મુજબ નીચે મુજબની ઇમારતોને લેબલ પ્રાપ્ત થયા છે: BEE ‘શૂન્ય પ્લસ’ (Shunya Plus) લેબલ: OHE અને PSI ડેપો, વાંકાનેર OHE અને PSI ડેપો, હાપા તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ બિલ્ડિંગ, રાજકોટ BEE ‘શૂન્ય’ (Shunya) લેબલ: OHE અને PSI ડેપો, મોરબી ટ્રેક્શન સબ-સ્ટેશન, હાપા ગ્રીન રેલવે તરફ પ્રયાણ સ્માર્ટ ઊર્જા મોનિટરિંગ અને કુદરતી હવા-પ્રકાશના મહત્તમ ઉપયોગને કારણે કુલ ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પહેલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને ભારતીય રેલવેની “ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ” ની કલ્પના સાકાર થશે. આ રાષ્ટ્રીય માન્યતા રાજકોટ ડિવિઝનની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યભરમાં સ્કૂલોને મળતી બોમ્બ ધમકીઓના પગલે સ્કૂલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંચાલકોએ પોલીસ તંત્ર પાસે ચૂસ્ત બંદોબસ્તની માગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાની તૈયારીને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના શિક્ષકો અને સંચાલકોની યોજાયેલી આ બેઠકમાં પરીક્ષાનું સંચાલન, સુરક્ષા અને વિદ્યાર્થીઓની સુવિધા અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાક વધુ મળશેબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોઈ અગવડ ન પડે અને તેમને જરૂરી ‘લહિયા’ની સુવિધા સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. બોર્ડની નવી ગાઈડલાઈન મુજબ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને દર કલાકે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. એટલે કે 3 કલાકના પેપરમાં આ વિદ્યાર્થીઓને કુલ 60 મિનિટ વધુ મળશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર સંચાલકોને સુપરવાઈઝર સાથે વિશેષ બેઠક યોજવા અને કડક નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તે પ્રયાસઃ ભગવાન પ્રજાપતિઅમદાવાદ ગ્રામ્ય DEO ભગવાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે આજે અમદાવાદ ગ્રામ્યના સંચાલકોની બેઠક મળી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ સુવિધાઓ અને નિયમ મુજબનો વધારાનો સમય ફાળવવામાં આવશે. કેન્દ્ર સંચાલકોને ગેરરીતિ અટકાવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના અંદાજપત્ર પર બીજા દિવસે પણ મેરેથોન ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ બજેટમાં સ્થાયી સમિતિએ રૂપિયા 708 કરોડનો ધરખમ વધારો સૂચવ્યો છે. જેના પગલે હવે કુલ 11,301.75 કરોડના બજેટને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલી આ સભા આજે સવારે 10 વાગ્યાથી ફરી શરૂ થઈ હતી. શાસક અને વિરોધ પક્ષ વચ્ચે શહેરના આંતરમાળખાકીય વિકાસ, આરોગ્ય અને શિક્ષણ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ જોવા મળી હતી. 'કોંગ્રેસે આ દેશના અર્થતંત્રનો સત્યનાશ વાળ્યો'બળવતં પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મારા વિસ્તારના અનેક કામો થયા છે. લગભગ 10થી 15 સોસાયટીમાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સરકારે આ દેશના અર્થતંત્રનો સત્યનાશ વાળ્યો હતો. ભાજપ સરકાર આવ્યા પછી રામરાજ્ય આવ્યું અને દેશનો અર્થ તંત્ર વિશ્વના ચોથા નંબરે આવ્યો છે. 'સાત કરોડનો ખર્ચ કરવા છતાં આપણે સાંભળવું પડે છે'શાસક પક્ષના કોર્પોરેટર વિજય ચૌહાણે જણાવ્યું હતું કે, હું રાજનીતિમાં આવ્યો છું તો લોકોના પ્રતિબિંબ બનવું છે. લોકો મારો દાખલો આપવા જોઇએ અને એટલું જ કહું છું કે મેં હજુ સુધી ફ્રીમાં કોઈની ચા નથી પીધી અને કોઇ મારા ઉપર ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો તમે કહો તે કરવા હું તૈયાર છું. રોડ બનાવવામાં આમે કોઈ કમી નથી છડોતા છતાં આ ડામરના રોડ તૂટી જાય છે. આ સાત કરોડનો ખર્ચ કરવા છતાં આપણે સાંભળવું પડે છે. 'ટુકડે ટુકડે રોડ બનાવી લોકોના રૂપિયાનો વેડફાટ કર્યો'પાલિકા દ્વારા હવે સીસી રોડ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ટુકડે ટુકડે રોડ બનાવવાથી આપણે લોકોના રૂપિયાનો વેડફાટ કર્યો છે. જે આપણે સ્વીકારવું પડે. સુરતના વિદ્યાર્થીઓ 99.99 પર્સન્ટેજ લાવી શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે, પરંતુ તેઓને મનોરંજન માટે કોઈ મોટું મેદાન નથી તેથી દરેક વોર્ડમાં એક મેદાન બને તે માટે સૂચન કર્યું હતું. શાસક પક્ષના આ કોર્પોરેટરની રજૂઆત વખતે વિપક્ષ મજા લેતું જોવા મળ્યું હતું. 'કચરાના ઢગલા બતાવી નંબર પર સવાલ ના ઉઠાવવા જોઇએ'ખોટી રીતે સ્વચ્છતાનો નંબર લેવામાં આવ્યો છે વિપક્ષ નેતાના આ નિવેદન પર નેન્સી બહેને જણાવ્યું હતું કે, એવોર્ડ લેવા માટે સુરત મહાનગરપાલિકાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. એટલે માત્ર કચરાના ઢગલા બતાવી નંબર પર સવાલ ના ઉઠાવવા જોઇએ. જ્યારે એવોર્ડ મનપાને મળ્યો ત્યારે સી.આર. પાટીલે સુરત મનપાના સફાઈકર્મીઓનું સ્વાગત કરવા જણાવ્યું હતું, ત્યારે મેયર દ્વારા ફાળો એકત્ર કરી વેલ્ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, વીડિયો બનાવો છો. ફરિયાદ કરો છો. વાંધો નહીં પરંતુ એક જાગૃતતાનો પણ વીડિયો બનાવવો જોઇએ. ઘણી બધી ત્રુટિઓ રહેતી હોય તો દરેક બજેરમાં વધારો કરી ત્રુટિઓ સુધારવાનું કામ કરવામાં આવે છે. 'નવા ફૂડ ઇન્સ્પેક્ટરો લેવાની રજૂઆત કરી દેવાઈ છે'ફૂડ સેમ્પલો વધારવા અંગે તેઓએ જણાવ્યું હતું કે, આપણે માત્ર 24 ફૂડ ઇન્સ્પેક્ટરો છે તેની સામે ફૂડ સ્ટોલની સંખ્યા ઘણી બધી છે તેથી સેમ્પલો ઓછા લેવાઈ રહ્યા છે છતાં નવા ફૂડ ઇન્સ્પેક્ટરો લેવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે અને તેના પર કાર્યવાહી થઈ રહી છે. 'ફરિયાદો કરવા છતાં કરચો હટાવાતો નથી'આપના કોર્પોરેટર વિપુલભાઈએ પોઇન્ટ ઓફ વ્યૂ લઈને જણાવ્યું હતું કે, સફાઈમાં આપણે પહેલો નંબર છીએ ત્યારે શહેરમાં કચરાના ઢગલાઓ હોય, ગટરના ઢાંકણાં ખુલ્લા હોય. બે દિવસથી ફરિયાદો કરવા છતાં કરચો ના હટાવાય તો વીડિયો ના ઉતારીએ તો શું કરીએ? 'સફાઈ કર્મચારીઓને 5 કલાક સાફ કરતા થાય'ભાજપના કોર્પોરેટર ધર્મેશ ભાલાણીએ સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, લગ્નના વરઘોડામાં ફોડવામાં આવતા ફટાકડામાંથી નીકળતી કાગળની પન્નીઓ વિસ્તારમાં ખુબ જ કચરો કરે છે અને આ 5 મિનિટના આપણા આનંદ માટે આપણા સફાઈ કર્મચારીઓને 5 કલાક સાફ કરતા થાય છે તેથી આવા પર કાર્યવાહી કરવા સજેશન આપવામાં આવ્યું હતું. 'વિપક્ષે માત્ર ફરિયાદોની જ રજૂઆત કરી છે'ભાજપના કોર્પોરેટર દિનેશભાઈ જોધાણીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિપક્ષે માત્ર ફરિયાદોની જ રજૂઆત કરી છે. તેઓએ ₹11,301.75 કરોડના બજેટમાંથી એક લાખ રૂપિયાના પણ કામની વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી નથી તો તમે બીજું કાંઇ ના કરો તો કાંઇ નહી પણ તમારા વોર્ડમાં જે કામ કર્યા છે તેની તો ચર્ચા કરો. 'કામમાં ઉણપ જણાય તો અધિકારીને બોલાવી ફરિયાદ કરો'વિપક્ષને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે, તમે જે કામ કરો છો તે જ કોંગ્રેસ કરતી હતી. તેથી ઝીરો થઈ ગઈ છે. તમે જે કામ જોવો છો તેમાં કાંઈ ઉણપ જણાય તો અધિકારીને બોલાવી ફરિયાદ કરો. વીડિયગ્રાફી કે ફોટોથી શું થવાનું છે? શિસ્તભંગ બદલ 'આપ'ના કોર્પોરેટર સભામાંથી બહાર કરાયાઆ ચર્ચાઓ વચ્ચે આપના કોર્પોરેટર માલવીયાએ પોઇન્ટ ઓફ વ્યૂ વગર વચ્ચે બોલતા મેયર દ્વારા તેમને અડધો કલાક માટે બહાર કરાયા હતા અને તેમને દલીલ કરતાં જણાવ્યું હતું કે, તમારા પક્ષના લોકો વચ્ચે બોલે તો તેમને પણ બહાર કરજો. 'વિપક્ષને આ બજેટમાં કોઈ વાંધો નથી'ઘનશ્યામભાઈ છેલ્લે મેયરને કહ્યું કે, વિપક્ષની જે ફરિયાદ છે તે કમિશનર સાથે વાત કરી નિરાકરણ લાવી દો. કારણ કે બજેટને લઈ વિપક્ષને કોઈ ફરિયાદ નથી એટલે બજેટ સિવાય બીજી વાતો કરાય છે, તેનો મતલબ વિપક્ષને આ બજેટમાં કોઈ વાંધો નથી. તેમને પસંદ જ છે.
વડોદરાના મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી અને ઈન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઈન્સ્યુરન્સના સંયુક્ત ઉપક્રમે આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહિલાઓ માટે ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10 કલાકે એટલાન્ટીસ હાઈટ્સ, ગેંડા સર્કલ ખાતે યોજાશે, જેમાં ફક્ત મહિલા ઉમેદવારો જ ભાગ લઈ શકશે. વયમર્યાદા અને લાયકાત આ મેળામાં વિવિધ વયજૂથની સ્નાતક મહિલાઓ માટે અલગ-અલગ તકો ઉપલબ્ધ છે: 21 થી 30 વર્ષની સ્નાતક યુવતીઓ ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ જોડાઈ શકશે. 30 થી 45 વર્ષની મહિલાઓ માટે વીમા ક્ષેત્રમાં સીધી રોજગારીની તક છે. 18 વર્ષથી ઉપરની તમામ સ્નાતક મહિલાઓ ‘Women Insurance Manager’ તરીકે અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયા અને વિગતો લાઈફ પ્લાનિંગ ઓફિસર, સેલ્સ અને માર્કેટિંગની કુલ 45 જગ્યાઓ માટે સીધા ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે નિયત સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે પગભર કરી તેમના સપના સાકાર કરવાનો છે.
સુરતના ઉમરા વિસ્તારમાં એક 26 વર્ષીય ડીવોર્સી યુવતીએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ફાંસો આપી પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, જેમાં મૃતકના પરિવારે આત્મહત્યા પાછળ પૂર્વ પતિ અને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને જવાબદાર ઠેરવ્યો છે. પોલીસે આ મામલે પૂર્વ પતિ, સાસુ અને બે નણંદો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ પુત્રની હત્યા બાદ માતાનો આપઘાતગયા સપ્તાહે 14 ફેબ્રુઆરીની સવારે ઉમરાગામ સ્થિત નિર્મળનગરમાં રહેતી પૂનમ સંતોષ તાયડેએ કરુણ પગલું ભર્યું હતું. તેણે પોતાના 4 વર્ષના પુત્ર શિવાયને દુપટ્ટા વડે ફાંસો લગાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લગ્નજીવનનો કરુણ અંત અને ડિવોર્સી તરીકેનું જીવનમૃતક પૂનમના લગ્ન 3 વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા કરણ શાહ સાથે મેરેજ બ્યુરો મારફતે થયા હતા. કરણ અમદાવાદમાં કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. લગ્ન બાદ તેમને ત્યાં શિવાયનો જન્મ થયો હતો. જોકે, લગ્નના થોડા સમય બાદ જ પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થયો હતો, જેના પરિણામે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. પૂનમ એક ડિવોર્સી તરીકે પોતાના પુત્ર સાથે સુરતના ઉમરા વિસ્તારમાં અલગ રહેતી હતી અને સંઘર્ષમય જીવન જીવી રહી હતી. સાસરી પક્ષ દ્વારા જાતિ વિષયક અપમાન અને ત્રાસપૂનમના ભાઈ સોપાન તાયડેએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પૂનમના ડિવોર્સ થયા બાદ પણ તેનો પૂર્વ પતિ અને સાસરી પક્ષ તેને શાંતિથી જીવવા દેતા નહોતા. પૂર્વ પતિ કરણ જયેશ શાહ, સાસુ કૈલાશ શાહ અને બે નણંદો હિરલ તથા ઉમંગ દ્વારા પૂનમ પર અવારનવાર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આરોપીઓ પૂનમ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને તેને જાતિ વિષયક અપશબ્દો બોલીને સતત અપમાનિત કરતા હતા, જેનાથી તે માનસિક રીતે ભાંગી પડી હતી. આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયોઆ ગંભીર મામલે ઉમરા પોલીસે પૂર્વ પતિ કરણ શાહ, સાસુ અને બે નણંદો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા (કલમ 306 મુજબ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પૂનમના ભાઈએ આક્ષેપ કર્યો છે કે સાસરી પક્ષના સતત ત્રાસ અને જાતિ વિષયક અપમાનને કારણે જ પૂનમે આ આત્મઘાતી પગલું ભરવા મજબૂર બનવું પડ્યું હતું. હાલમાં પોલીસ અમદાવાદ સ્થિત સાસરી પક્ષની ધરપકડ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
જલાલપોર ભાજપમાં રાજીનામાનો દોર યથાવત્:તાલુકા પ્રમુખ સહિત 28 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા
નવસારી જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભામાં વિવાદ સર્જાયો છે. તાલુકા ભાજપ સંગઠનના કાર્યકરની મહામંત્રી પદ માટે પસંદગી ન થતાં સંગઠન અને ચૂંટાયેલી પાંખમાં રોષ જોવા મળી રહ્યો છે. આના પરિણામ સ્વરૂપ, અત્યાર સુધીમાં જલાલપોર તાલુકા પ્રમુખ સહિત 28 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. અગાઉ જલાલપોર ભાજપ સંગઠનના 22 જેટલા સભ્યોએ કમલમ જઈને પોતાના હોદ્દાઓ પરથી રાજીનામા આપ્યા હતા. હવે તાલુકા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપવાનું શરૂ કરતાં નારાજગીનો આ સિલસિલો વધુ આગળ વધવાની સંભાવના છે. નવસારી જિલ્લા ભાજપ સંગઠન કે પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા જલાલપોર તાલુકાના નારાજ સભ્યોને મનાવવાના કોઈ પ્રયત્નો થયા નથી. જો આ મામલે જિલ્લા કે પ્રદેશ કક્ષાએ મધ્યસ્થી કરીને સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તો જ નારાજ કાર્યકરોને સમાધાન મળી શકે તેમ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર આ અસંતોષની અસર પડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં જલાલપોર વિધાનસભામાંથી એક પણ કોળી કાર્યકરને મહામંત્રી ન બનાવતા આ વિરોધ ઉગ્ર બન્યો છે. આ અસંતોષની અસર દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે, જ્યાં સંગઠન સામે કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે, જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે આક્રમક રીતે રાજીનામાનો દોર શરૂ થયો છે. રાજીનામાં આપનાર તાલુકા પંચાયતનો સભ્યો હિરેનકુમાર અશોકભાઈ પટેલે જણાવ્યું કે, હું પનાર સીટીથી ચૂંટાયેલો હતો. હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જાહેર થયું, એમાં જલાલપોરના સંગઠન સાથે એમની અવગણના થઈ હોય એવું લાગે છે. એના કારણે અમારા જલાલપોર સંગઠનના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે તેમજ નવનિયુક્ત જે કોઈએ જિલ્લામાં ટીમમાં લીધા હતા એમણે પણ રાજીનામા આપ્યા છે. તો અમે સૌ એમના લીધે જ ચૂંટાયા હતા, એનો સંગઠનનો ખૂબ મોટો હાથ હતો. ત્યારે હાલમાં અમારૂ સંગઠને રાજીનામું આપ્યું છે જેને પગલે અમે પણ આ હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરી 2026માં યોજાનારી જાહેર પરીક્ષાના પ્રવેશપત્ર (હોલટિકિટ) આજે 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 15:00 કલાકથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મૂકી દેવામાં આવ્યા છે. ઓનલાઇન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્ય બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પર જઈને હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ માટે શાળાએ પોતાનો ઇન્ડેક્સ નંબર તથા નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી દ્વારા લોગીન કરવાનું રહેશે. 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થતી પરીક્ષા માટે આ પ્રવેશપત્ર અનિવાર્ય છે. શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની ખરાઈ કરવાની રહેશે. પ્રવેશપત્રમાં નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોટાડી, વિદ્યાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરવાના રહેશે. પ્રવેશપત્રની પાછળના ભાગે આપવામાં આવેલી 1 થી 13 નંબરની સૂચનાઓ પણ પ્રિન્ટ કરી વિદ્યાર્થીને આપવી ફરજિયાત છે. જો વિષયો બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી પુરાવા સાથે સંપર્ક કરવાનો રહેશે. શિક્ષકો માટે એસેસમેન્ટ ઓર્ડરની ફાળવણી ફેબ્રુઆરી 2026ની પરીક્ષાના મૂલ્યાંકન કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂકપત્ર (Assessment Order) પણ હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવ્યા છે. શાળાઓએ આ નિમણૂકપત્ર ડાઉનલોડ કરી જે-તે શિક્ષકને સુપરત કરવાના રહેશે અને તેની પહોંચ મેળવી શાળાના રેકોર્ડ પર રાખવાની રહેશે. આ અખબારી યાદી સચિવ આર.આર.વ્યાસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે પોલીસે માર મારનાર 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. જેને પગલે યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો. જેને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જો કે, યુવકે ફરિયાદ કરવાની ના પાડતા અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત 2 યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગર્લફ્રેન્ડને મેસેજ કરી ડીનર પર બોલાવતા મામલો બિચક્યોવડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને શહેરની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. પછી તેઓ મોબાઇલ પર મેસેજથી વાતો કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર પર બોલાવી હતી. જેની જાણ યુવતીના ભાઇને થઈ ગઇ હતી. યુવતીનો ભાઇ અને યુવક બંને સારા મિત્રો છે. જેથી યુવતીના ભાઇએ યુવકને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં યુવતી પણ હાજર હતી. યુવતીના ભાઇ સહિત 4થી 5 લોકોએ યુવકને તાલિબાની સજા આપતા હોય એમ ઢોર માર માર્યો હતો. યુવતીએ પણ યુવકને લાફા ઝીંક્યા હતા અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદી અને યુવકને માર મારનાર 2 યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પોલીસે કલમ 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. યુવતીની હાજરીમાં ભાઈ સહિતના યુવકોએ બેફામ ગાળાગાળી કરીસોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં એક યુવતી અને ત્રણ યુવકો નજરે પડી રહ્યા છે. ત્રણ પૈકીનો એક યુવક યુવતીનો ભાઈ હોવાનું જણાય છે. યુવતીની હાજરી હોવા છતા યુવકો બેફામ ગાળગાળી કરતા નજરે પડી રહ્યા છે. યુવતીને જે યુવકે મેસેજ કર્યો હતો તેને બંધક બનાવી લાકડી, મુક્કા અને થપ્પડો મારી રહ્યા છે. વીડિયોમાં દેખાતા લોકોને સંવાદના મુખ્ય અંશો… પીડિત યુવકઃ 'અમે લોકો બહાર ગયા હતા' સામેનો યુવકઃ 'બહેન કહીને તું શું કરે છે, પછી શું થયું હતું, તું સાચુ બોલ, તું ઉઠક બેઠક કર, કાન પકડ' પીડિત યુવકઃ 'ઉભા રહો,ચશ્મા તૂટી જશે' યુવતીઃ 'એક મિનિટ ઉભો રહે, તું સાચુ બોલ નહીં તો હું મારીશ. હું ઇજ્જતથી બહુ મારીશ' સામેનો યુવકઃ 'બોલ હેપ્પી બર્થ ડે' યુવતીઃ 'હું શું તારી શું થાઉ?' પીડિત યુવકઃ 'બહેન છે મારી' યુવતીઃ 'મારા પપ્પાને બોલાવશે તો પણ મને શરમ નહીં, તું કહે છે કે, તું ખોટો છે' પીડિત યુવકઃ 'હું કહું છુ કે હું ખોટો છું.' સામેનો યુવકઃ 'તું સાચુ બોલુ શું થયું હતું?' પીડિત યુવકઃ 'અમે લોકોએ વાતચીત કરી હતી અને અમે બેઠા હતા. અમે રાત્રે બેઠા હતા અને શાંતિથી વાતચીત કરી હતી' સામેનો યુવકઃ 'સાચુ કહે કે, તારા ઘરે શું થયું હતું, તારી ઓકાદ ભૂલી ગયો છે, તું બહેન બોલ' પીડિત યુવકઃ 'હું માનુ છું કે, મારી ભૂલ છે, સોરી ભાઇ આજ પછી આવું નહીં થાય. કોઇ પણ હોય, ઓકાદમાં રહીશ, એ મારી બહેન છે'
ગાંધીનગરના સેક્ટર-30 પાસે આવેલા સાબરમતી નદીના બ્રિજ પર આજે ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જઈ રહેલા શીહોલી ગામના એક યુવકની રિક્ષા કોઈ કારણોસર અચાનક બ્રિજ પરથી સીધી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા નદીમાંથી રીક્ષાને બહાર કાઢી લેવામાં આવી છે. જ્યારે હાલમાં યુવાનની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ ચિલોડા પોલીસે તાત્કાલિક ટ્રાફિક ક્લીયર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અગમ્ય કારણોસર બ્રિજ પરથી નદીમાં રિક્ષા ખાબકીમળતી વિગતો અનુસાર, ગાંધીનગરના શીહોલી ગામનો રહેવાસી રાકેશ પ્રહ્લાદજી ઠાકોર નામનો યુવક આજે સવારે પોતાની રિક્ષા લઈને જમીનના દસ્તાવેજ કરાવવાના કામ અર્થે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યો હતો. તે ચિલોડા તરફથી સેક્ટર-30 બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈ અગમ્ય કારણોસર રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે રિક્ષા રેલીંગ વિનાની બ્રિજ પરથી સીધી નીચે પલટી મારી નદીના પાણીમાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિજનું કામ ચાલતું હોવા છતાં તંત્ર દ્વારા બેરીકેટીંગ કરવામાં આવ્યું નહીં હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી છે. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી રિક્ષાને બહાર કાઢી લીધી છે. રિક્ષા મળી આવી, ચાલક ગુમ થતા શોધખોળપરંતુ રિક્ષા ચાલક રાકેશ ઠાકોરનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા સાબરમતી નદીના ઊંડા પાણીમાં રાકેશને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાકેશના પરિવારજનો અને શીહોલી ગામના લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતને પગલે સેક્ટર-30 બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળીને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી શરૂ કરી હતી. બ્રિજ પર લોકોના ટોળા એકઠા થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પૂર્વવત કરવા માટે પોલીસ મથામણ કરી રહી છે. હાલ તો સૌની નજર સર્ચ ઓપરેશન પર ટકેલી છે અને નદીના પ્રવાહમાં લાપતા થયેલા યુવકની શોધખોળ જારી છે. આ અંગે ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે.ચૌહાણએ જણાવ્યું કે, મોટી શિહોલી ગામનો રાકેશ ઠાકોર નામનો યુવક રીક્ષા લઈને બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો એ વખતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રીક્ષા નદીમાં ખાબકી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલમાં બ્રિજ ઉપર ટ્રાફિક ક્લીયર કરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. રિક્ષામાં રાકેશ ઠાકોર એકલો જ હોવાનું પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે.
ભારતીય જીવનમૂલ્યો જેમનો જીવન આધાર છે એવા યુવા નેતૃત્વનું નિર્માણ જેનો સંકલ્પ છે એવી રાજકોટની અભ્યાસિકા મંડળ સંસ્થા દ્વારા 22 ફેબ્રુઆરીએ એક અનોખો શોધ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શહેરની પી.ડી.માલવિયા કોલેજ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 30 થી ઓછી વયના તમામ યુવક - યુવતીઓ જોડાઈ શકશે. તેઓ પોતાની જાતને ઓળખે અને પોતાની કારકિર્દીના નિર્ણયો પોતે જ લે તે માટે તેમનો IQ, EQ અને SQ દ્વારા એક સાયકોલોજીકલ ટેસ્ટ લેવામાં આવશે. તેના મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓ સહિતના યુવાનો પોતાની સાચી ક્ષમતા તેમજ આંતરિક શક્તિઓ ઓળખી શકશે. વિદ્યાર્થીઓ આપેલ QR કોડ સ્કેન કરીને ફોર્મ ભરી ભાગ લઇ શકે છે. વૈશાલી ચાંદેગરાએ જણાવ્યું હતું કે, રાજકોટનું અભ્યાસિકા મંડળ કે જે વર્ષ 2018 થી વિદ્યાર્થીઓના ઘડતર માટે કામ કરી રહ્યું છે. જેનો આધાર ભારતીય જીવન મૂલ્યો અને વિચારો હોય છે. આ મંડળ દ્વારા 22 ફેબ્રુઆરીએ શોધ Know Your IQ, EQ અને SQ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં 30 વર્ષથી ઓછી વયના કોઈપણ યુવાનો ભાગ લઈ શકે છે. જેનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પોતાની આંતરિક શક્તિને ઓળખે અને પોતાના કરિયરનો નિર્ણય પોતે જ લે. યુવાનો પોતે ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકે કે જેનાથી તેને સફળતા મળી શકે. IQ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન એટલે કે બુધ્ધિ ગુણાંક, EQ એટલે ઈમોશનલ ક્વોશન એટલે કે ભાવનાત્મક બુધ્ધિ અને SQ એટલે સ્પ્રિચયુઅલ ક્વોશન એટલે કે આધ્યાત્મિક બુદ્ધિ. જેમાં આ ત્રણ પરિબળ ઉપર તૈયાર કરેલી એક સાયકોલોજિકલ ટેસ્ટ લેવામાં આવશે. જે ટેસ્ટ આપ્યા બાદ તેનું એનાલિસિસ એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે. જે બાદ તેનું પરિણામ તૈયાર થશે અને ગાઇડન્સ પણ આપવામાં આવશે. યુવાન પોતાની જાતને ઓળખે તે માટેનો આ સેલ્ફ ડિસ્કવરી કાર્યક્રમ છે. મામૂલી રૂ.51 ફી થી અભ્યાસિકા મંડળ આ કાર્યક્રમ કરી રહી છે જેથી વધુમાં વધુ યુવાનો લાભ લે તો ફાયદો થશે. IQ, EQ અને SQ નું મહત્વ આજના સમયમાં માત્ર વધારે બુદ્ધિશાળી હોવું પૂરતું નથી. જીવનમાં સાચી સફળતા મેળવવા માટે IQ, EQ અને SQ - ત્રણેય મહત્વના છે. IQ (બુદ્ધિ ગુણાંક) આપણને અભ્યાસમાં મદદ કરે છે. ગણિતના ઉકેલો શોધવા, વિજ્ઞાનના સિદ્ધાંતો સમજવા અને તર્કશક્તિ વધારવા માટે IQ જરૂરી છે. ઊંચી 10 ધરાવતો વિદ્યાર્થી પ્રશ્નો ઝડપથી સમજી શકે છે. પરંતુ માત્ર બુદ્ધિ પૂરતી નથી. EQ (ભાવનાત્મક બુદ્ધિ) આપણને પોતાની અને બીજા લોકોની ભાવનાઓ સમજવામાં મદદ કરે છે. મિત્રો સાથે સારો વ્યવહાર કરવો, ગુસ્સો નિયંત્રિત કરવો અને મુશ્કેલીમાં શાંત રહેવું - આ બધું EQ થી શક્ય બને છે. તે ઉપરાંત SQ (આધ્યાત્મિક બુદ્ધિ) આપણને જીવનના સાચા મૂલ્યો અને હેતુ સમજવામાં મદદ કરે છે. સારા વિચારો, સારા વર્તન અને આંતરિક શાંતિ માટે SQ જરૂરી છે.અંતમાં કહી શકાય કે, એક સારો વિદ્યાર્થી અને સારો માનવી બનવા માટે IQ, EQ અને SQ ત્રણેયનું સંતુલન જરૂરી છે.
બોટાદની કવિ બોટાદકર કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી:જય વસાવડાએ ભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો
બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે “વિશ્વ માતૃભાષા મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી થયો હતો. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટથી સ્વાગત કરાયું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી રાવલે શાબ્દિક સ્વાગત કર્યું, જ્યારે સાહિત્યકાર શ્રી પી.આર. ભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું. મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ સાહિત્યકાર જય વસાવડાએ ભાષાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, “ભાષા ભાવની અભિવ્યક્તિ છે.” તેમણે ગુજરાતી છંદ, અલંકાર, ગઝલ, ચોપાઈ અને છપ્પાના અદભૂત ખજાનાની ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને માતૃભાષા પ્રત્યે ગર્વ અનુભવવાની પ્રેરણા આપી. વસાવડાએ ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિશ્રી બોટાદકર અને રમણભાઈ નીલકંઠ જેવા મહાનુભાવોના જીવન પ્રસંગો દ્વારા ભાષાના મહિમાને ઉજાગર કર્યો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલે “જય જય ગરવી ગુજરાત” નું ગાન રજૂ કરીને સંસ્કૃતિની ઝાંખી કરાવી. કોલેજના પ્રિન્સિપાલ શ્રી અનિરુદ્ધસિંહ મકવાણાએ આભારવિધિ કરી. આ કાર્યક્રમમાં પ્રા. વૈશાલીબહેન દવે, હરેશભાઈ મહેતા, ભાવેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.
• તમિલનાડુમાં 1979ના નૈનાર દાસ પોલીસ યુનિયનની ભલામણોને લાગુ કરવા માંગ રાજકોટ કોર્ટ બિલ્ડિંગને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજ રોજ વહેલી સવારે ડીસ્ટ્રીક કોર્ટના ઈમેલ એડ્રેસ પર એક રમીઝ હુશૈની નામના મેઈલ આઈડી પરથી ધમકી ભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, આજરોજ બપોરની ઇસ્લામી નમાઝ પહેલા તમારી કોર્ટ બિલ્ડીંગ ખાલી કરી દયો કારણ કે તમારી કોર્ટ બિલ્ડિંગમાં 19 બૉમ્બ વિસ્ફોટ થશે. 12.20 વાગ્યા સુધીમાં કોર્ટ બિલ્ડીંગ ખાલી કરી દેવાની ધમકી મળતાની સાથે જ રાજકોટ શહેર SOG, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, અને યુનિવર્સીટી પોલીસ સ્ટાફ તપાસમાં જોડિયાઓ હતો જો કે કોઈ બૉમ્બ વિસ્ફોટ ન થતા અને તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ફરી એક વખત રાજકોટ ડીસ્ટ્રીક કોર્ટને ઇમેઇલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વહેલી સવારે રમીઝ હુશૈની નામના મેઈલ આઈડી પરથી ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આજે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ બપોરની ઇસ્લામિક નમાઝ પહેલા તમારા કોર્ટમાં 19 બોમ્બ વિસ્ફોટ થશે, બપોરે 12.20 વાગ્યા સુધીમાં કોર્ટમાં રહેલા બધા મુસ્લિમોને ખાલી કરાવો. તમિલનાડુ કોન્સ્ટેબલોને શ્રીમતી નિવેથા પેથુરાજ અને અન્ય ડીએમકે ઉપપત્નીના કપડાં અને ગંદા વાસણો સાફ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ કારણે ઘણાને અપમાન થતું હોવાનો અનુભવ થયો છે. તેથી, આઝાદ કાશ્મીર પાક ISI ના ભૂતપૂર્વ ક્યૂ શાખાના સભ્યોએ આજે તમારી કોર્ટને આ પ્રથા સામે નિવેદન આપવા અને કોન્સ્ટેબલો માટે તમિલનાડુમાં 1979ના નૈનાર દાસ પોલીસ યુનિયનની ભલામણોને લાગુ કરવા માટે લક્ષ્ય બનાવ્યું છે. અમારી માંગણીઓ સાંભળવા માટે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, માફ કરશો..! C-4 RDXનો ઉપયોગ કરીને બનાવેલા 19 RDX IED પહેલાથી જ સુવિધામાં મહત્વપૂર્ણ સ્થળોએ મૂકવામાં આવ્યા છે. 1 કે 2 સભ્યો બપોરના ભોજન સમયે કોર્ટ/જજ ચેમ્બર ઓફિસના નજીકના સંપર્કમાં આવશે અને જ્યારે ભૂતપૂર્વ તમિલનાડુ પોલીસમેન-પાકિસ્તાન ISI સભ્યો જે રિમોટ કંટ્રોલ ટ્રિગરો લઈને આવશે તેઓ પરિસરના 100 ફૂટની અંદર આવશે ત્યારે IED આપમેળે વિસ્ફોટ થશે. જો કોઈ કારણોસર, તેઓ સક્રિય નહીં થાય, તો સભ્યો પોતે જ બિલ્ડિંગની અંદર આવશે અને શ્રીલંકાના ઇસ્ટર આત્મઘાતી ઓપરેશનની જેમ તમામ સ્ટાફ સાથે પોતાને વિસ્ફોટ કરશે. અમે એક નિવેદન બનાવવા માંગીએ છીએ અને તમારી કોર્ટ હાલમાં સૌથી સરળ લક્ષ્ય છે, અમે જવાબદારી લઈએ છીએ અને ઇચ્છીએ છીએ કે કોઈપણ કિંમતે અમારો અવાજ સાંભળવામાં આવે જો આકાશ ભાસ્કરન પકડાઈ જાય, તો નિવેથા પેથુરાજ પણ પકડાશે. લીખીતન રમીઝ, તામિલનાડું પોલીસ કોન્સ્ટેબલ એસોસિએશન રાજકોટના જાણીતા એડવોકેટ કમલેશ ડોડિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે લગભગ ચોથી વખત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સરકારને બદનામ કરવા માટે અને ગુજરાતની શાંતિને ડહોળવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. અમે કોઈ ધમકીથી ડરવાના નથી સરકાર પર અમને ભરોસો છે. સરકાર ને વિનંતી છે કે આવા લોકોને ખુલ્લા પાડવા અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આણંદની સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ (ઓટોનોમસ) કોલેજ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ એન્ડ ડીપ લર્નિંગ વિષય પર એક દિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કોલેજમાં યોજાયેલો આ કાર્યક્રમ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) અને શિક્ષણ વિભાગના સહયોગથી યોજાયો હતો. આ વર્કશોપમાં આઈટી ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રથમ સેશનમાં પ્રોફેસર ડો. યોગેશ ઘોડાસરા અને બીજા સેશનમાં ડો. સંસ્કૃતિ પટેલે વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ લર્નિંગના ઉપયોગો તેમજ ભવિષ્યની તકો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી. BCA, BBA-ITM અને ડેટા સાયન્સ સહિતના વિવિધ વિભાગોના 100 થી વધુ વિદ્યાર્થીઓએ આ નેશનલ વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડો. બી.એન. પટેલ, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અન્વેશ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને કેમ્પસ ડાયરેક્ટર કાર્તિકેય દવેએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ઓએસડી ડો. મન્સૂરી અને લશ્કરી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન ઇવેન્ટ કોઓર્ડિનેટર ડો. નયન પટેલ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મોનિકા યાદવ અને હેમાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કમ્પ્યુટર વિભાગના તમામ સ્ટાફ સભ્યોના સહિયારા પ્રયાસોથી આ ટેકનિકલ વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
મોડાસામાં ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ મંડળના ઉપપ્રમુખ ડૉ. હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વય નિવૃત્ત થતા શિક્ષકોનો પણ વિદાય સમારંભ સમાવિષ્ટ હતો. આ પ્રસંગે ઉદ્ઘાટક સરલાબેન નરોત્તમભાઈ ચૌહાણ, મુખ્ય મહેમાન ટ્રસ્ટી તુલસીભાઈ સુરાણી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પંકજભાઈ પટેલ, મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ, મંત્રી રમેશભાઈ ચૌધરી, ધોરણ ૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીના પિતા વસંતભાઈ પટેલ અને વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જયંતિભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળામાંથી વય નિવૃત્ત થતા શિક્ષિકા કેયુરાબેન પટેલ, શિક્ષક જયંતિલાલ પટેલ અને સેવિકા ગંગાબેન વણકરને વિદાય આપવામાં આવી હતી. અન્ય શાળામાં સ્થાનાંતર થતા શિક્ષક કિરીટભાઈ જોષીને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરી અંડર-૧૯ ક્રિકેટ ફાઇનલ ટીમ વિજેતા બનાવનાર ક્રિકેટર ખીલન પટેલનું શાળા પરિવારે સન્માન કર્યું. શાળામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યો પીયૂષભાઈ પટેલ, દુર્ગાબેન ત્રિવેદી અને વિનુભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેષભાઈ પટેલ અને કંચનબેન પટેલે કર્યું હતું.
ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઉમટી પડે છે. જોકે, આ વર્ષે શિવરાત્રીની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતા મોટો વિવાદ ઊભો થયો છે. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જે પ્રકારે સાધુ-સંતો અને ખાસ કરીને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્રમક વલણ અપનાવ્યું છે, તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરીને લખ્યું છે કે, ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રુફ સાથે હું કહીશ, ભગવાની પાછળના હું બધા રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ આજે રાત્રે 9 વાગ્યે પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હઈશ પણ તે અન્યાય સહન નહીં કરું. ભજનમાં પૈસા ઉડાવ્યા અને રવેડી રૂટ પર ભગવા વસ્ત્રોમાં દેખાઈવિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે આયોજિત ભજનના કાર્યક્રમમાં કીર્તિ પટેલ પૈસા ઉડાવતી જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ, તે શિવરાત્રીની રવેડી પહેલા પોતાના મિત્રો સાથે ભગવા વસ્ત્રો પહેરીને રવેડી રૂટ પર ફરતી જોવા મળી હતી. આ ઘટનાક્રમ બાદ મધ્યરાત્રિએ તેણે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું, જે કુંડ માત્ર સાધુ-સંતો માટે અનામત ગણાય છે. કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરીમૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે તીખી તકરાર થઈ હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતી જણાતા મામલો વધુ બિચક્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. કીર્તિ સામે પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે. કીર્તિ પટેલના ઇન્દ્રભારતી બાપુ પર સોશિ. મીડિયામાં આક્ષેપકીર્તિ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે લખ્યું કે, માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? મારી સાથે બીજી અનેક યુવતીઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, શું તેઓ બાપુની સગી વહાલી હતી?. 'હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું'પોતાના બચાવમાં કીર્તિએ વધુમાં જણાવ્યું કે, હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું અને ભવિષ્યમાં સન્યાસ પણ લઈ શકું છું. તેણે બે વર્ષ જૂના વિડીયો પણ શેર કર્યા છે જેમાં અન્ય લોકો પણ સ્નાન કરતા દેખાય છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે બીજા લોકો સ્નાન કરે ત્યારે કેમ કોઈ વિવાદ નથી થતો? શું આ બધું માત્ર કીર્તિ પટેલને બદનામ કરવાનું કાવતરું છે ? સાધુ-સંતોમાં ભારે રોષકીર્તિ પટેલની આ હરકત અને ત્યારબાદ સાધુ-સંતો સામેના આક્ષેપોને પગલે જૂનાગઢના અખાડાઓ અને સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક મર્યાદાના ભંગ બદલ કીર્તિ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. હરિહરાનંદ બાપુ મૌનબીજી તરફ, આ વિવાદ અંગે જાણીતા સંત હરિહરાનંદ બાપુનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના સેવકે જણાવ્યું હતું કે, બાપુની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હાલ આ વિષય પર કોઈ વાત કરી શકે તેમ નથી. કીર્તિ પટેલે કહ્યું, હું આજે રાત્રે 9 વાગ્યે મોટો ખુલાસો કરીશકીર્તિ પટેલે જાહેરાત કરી છે કે, તે આજે રાત્રે 9 વાગ્યે સોશિયલ મીડિયા લાઇવમાં આવીને તમામ પુરાવાઓ સાથે પોતાની વાત અને મોટા ખુલાસા રજૂ કરશે. ઇન્દ્રભારતી બાપુના ચેલાઓ અને અન્ય લોકો સામે તે કયા પ્રકારના 'પ્રૂફ' આપે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. હાલ તો ભવનાથમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, કીર્તિ ઉપરાંત પીઆઈ જે. પી. વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે આ મામલે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી. આ પણ વાંચો'એના બાપનો કુંડ હોય તેમ પાછળ ફરે છે', કીર્તિ પટેલે PIને ધમકાવ્યા:, હોઠ ભીંસી આંખો કાઢી, મૃગીકુંડમાં સાધુઓ વચ્ચે ઘૂસી ડૂબકી મારી ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે. મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનારી કીર્તિ પટેલનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડે છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. કીર્તિના આ કાંડને લઈ જૂનાગઢ એસપીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ ઉપરાં પીઆઈ જે. પી. વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે આ મામલે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી.(વાંચો સંપૂર્ણ સમાચાર) કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતા જેલની બહાર આવી ધુરંધર મુવીના સોંગ પર રીલ બનાવી હતી. 'કીર્તિ પટેલે ભાડે લઈ ફ્લેટ પચાવ્યો, હપતા હું ભરું છું, સાહેબ... બે હાથ જોડી વિનંતી છે કે અમારો ફ્લેટ અપાવો' સુરતના પરવત પાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમનાં પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણાગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે. આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી. 2019માં આ ફ્લેટ કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો. કીર્તિ પટેલે છેલ્લાં 6 વર્ષથી આ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો દંપતીએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ દંપતીએ કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદના ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસીગત વર્ષે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમનેસામને ચોંકાવનારા આરોપ-પ્રતિઆરોપ કરાયા હતા. આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો. 'રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો'કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલાં કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સૂવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પદ્મિનીબા વાળાના ચાળા પડ્યા હતાએપ્રિલ 2024માં કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાના ચાળા પાડતી દેખાઈ રહી છે, જેમાં તેણે આબેહૂબ પદ્મિનીબા વાળા જેવો લુક ધારણ કર્યો છે. માથા પર પલ્લું ઓઢ્યું છે. તો ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ, ખલનાયક હૈ તૂ...’ ગીત વાગી રહ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 માટેનું મહત્વકાંક્ષી અંદાજપત્ર આજે કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જિલ્લાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ 1193.68 કરોડના બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, ખેડૂતોનું કલ્યાણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં મંજુર થયેલા બજેટમાં ગુજરાતમાં સંભવત: સૌપ્રથમ રાજકોટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઈ કરવામાં આવી છે. તો શહિદ પરિવારોને અપાતી સહાય રૂ. 1 લાખથી વધારી રૂ. 2 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. 96 ગ્રામપંચાયતોની સાથે આવાસોનું નવીનીકરણ કરવાનો અને સભ્યોની ગ્રાન્ટમાં 20 ટકાનો વધારો કરી રૂ. 35 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે, જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. કારોબારી ચેરમેન પી. જી. ક્યાડાએ જણાવ્યું હતું કે, આજે રૂ. 1193.68 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને કારોબારી સમિતિ દ્વારા મંજુર કરાયું છે. જેમાં રૂ. 26 કરોડ સ્વભંડોળ અને રૂ. 1144 કરોડની રાજ્ય સરકારની ગ્રાન્ટ સામેલ છે. વર્ષ 2026-27નાં બજેટમાં અનેક લોકકલ્યાણકારી યોજનાની જાહેરાત સાથે ગ્રામ્ય સ્તરે વહીવટી સજ્જતા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. બજેટની મુખ્ય વિશેષતાઓમાં જિલ્લાના 90 જેટલા ગામડાઓમાં આધુનિક સુવિધાઓ ધરાવતા નવા ગ્રામ પંચાયત ભવન અને તલાટી મંત્રીઓ માટે આવાસ બનાવવાનું આયોજન પણ આ બજેટમાં સામેલ કરાયું છે. સંભવત: ગુજરાતમાં પ્રથમ રાજકોટ જિલ્લા પંચાયતનાં બજેટમાં રાજકોટ જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને તે માટે પ્રાકૃતિક ખેતી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય મૂલ્ય મળી રહે તે હેતુથી જિલ્લા અને તાલુકા કક્ષાએ ખાસ વેચાણ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ કેન્દ્રો માટે રૂ. 60 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂતો વચેટિયાઓ વગર સીધા માર્કેટમાં પોતાની વસ્તુઓ વેચી શકશે, જેનાથી તેમની આવકમાં વૃદ્ધિ થશે અને ગ્રાહકોને શુદ્ધ આહાર ઉપલબ્ધ થશે. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યોની વિકાસ ગ્રાન્ટમાં કરવામાં આવેલો વધારો છે. અત્યાર સુધી સભ્યોને વર્ષે રૂ. 30 લાખની ગ્રાન્ટ મળતી હતી, જેમાં 5 લાખનો વધારો કરી હવે રૂ. 35 લાખની ફાળવણી કરવામાં આવશે. આ નિર્ણયથી જિલ્લાના પંચાયત સભ્યો પોતાના વિસ્તારમાં વધુ સુવિધાઓ ઊભી કરી શકશે. સભ્યો માટે અપાતી આ ગ્રાન્ટ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે. આ સાથે જ ગ્રામ પંચાયતની કાર્યક્ષમતા વધારવા 'શ્રેષ્ઠ ગ્રામપંચાયત' યોજના હેઠળ રૂ. 22 લાખની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. સામાજિક સુરક્ષા અને શિક્ષણની જોગવાઈ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે, શહીદ થયેલા સૈનિકોના પરિવારોને આપવામાં આવતી સહાયમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. શહીદ પરિવારોને અત્યાર સુધી આપવામાં આવતી રૂ. 1 લાખની સહાય હવે વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે. વધુમાં, વિચરતી વિમુક્તિ જાતિની દીકરીઓના શિક્ષણ માટે રૂ. 20 લાખની વિશેષ શિક્ષણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે, જે પછાત વર્ગના ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આ અંદાજપત્રને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જેમાં સભ્યોની મંજૂરી બાદ બજેટને બહાલી આપવામાં આવશે. જોકે આગામી સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બનાવવામાં આવ્યું છે હાલ તો બજેટમાં 96 જેટલા ગ્રામ પંચાયત બિલ્ડીંગો અને આવસોનાં નવીનીકરણ તેમજ સભ્યોની ગ્રાન્ટમાં 20%નાં વધારા સહિતની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈનો કેટલો અમલ થશે તે તો આવનારો સમય જ બતાવશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન અંતર્ગત આજે 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેર અને જિલ્લાની આઠ વિધાનસભામાં 20.89 લાખ મતદારો છે. 3,01,650 મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 33452 નવા નામ ઉમેરાયા છે તો 460 સતાયુ મતદારો છે. રાજકોટ જિલ્લામાં 26,591 યુવા મતદારો હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તા.01- 01- 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ (Special Intensive Revision) 28 ઓક્ટોબર 2025 ના શરૂ થયો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારો માટે કુલ 23,91,027 મતદારોની ગણતરી કરવામાં આવી હતી. જેઓના એન્યુમરેશન ફોર્મ (EFs – ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરવામાં આવ્યા હતા. એસ.આઈ.આર.ની કામગીરી માટે 2256 બી.એલ.ઓ. તથા 233 બી.એલ.ઓ. સુપરવાઇઝરને સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજકીય પાર્ટીઓ દ્વારા કુલ 437 બૂથ લેવલ એજન્ટસની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લામાં અંદાજે 6000 બૂથ લેવલ પદનામિત અધિકારીઓ (Volunteers)ની નિમણૂકો કરવામાં આવી. તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારમાં ત્રણ સેક્ટર રૂટ દીઠ એક સિનિયર નાયબ મામલતદાર કક્ષાના અને અન્ય 2 કર્મચારીઓને સુપરવિઝનની ફરજના હુકમો કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં કુલ 2256 બૂથ લેવલ ઓફિસર દ્વારા તા.4 નવેમ્બર, 2025 થી 4 ડિસેમ્બર, 2025 સુધી ઘરે-ઘરે જઈને ઈ.એફ. ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બી.એલ.ઓ.એ મતદારોના ઘરની ત્રણવાર મુલાકાત લઈને ફોર્મ ભરાવવામાં મદદ કરીને ફોર્મ પરત મેળવ્યા હતા. આ કામગીરીનું 233 બી.એલ.ઓ. સુપરવાઇઝર દ્વારા સઘન સુપરવિઝન કરવામાં આવ્યું હતુ. વર્ષ 2002ની મતદાર યાદી સાથે કુલ 8,23,668 મતદારોએ પોતાની માહિતી આપેલી હતી. આ ઉપરાંત 10,06,177 મતદારોએ પોતાની વંશાવલી દ્વારા મેપિંગ કરાવ્યું છે. જે બાદ રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરી 19 ડિસેમ્બરના પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદીમાં જિલ્લાના 8 વિધાનસભા મત વિસ્તારમાં 20,55,357 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુસદ્દા યાદી તા.19 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયા બાદ, મતદાર નોંધણી અધિકારી (ERO)/ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા નોટિસ જારી કરીને, વાંધાઓ-દાવાઓ મેળવવામાં આવ્યા હતા અને મતદારોને યોગ્ય દસ્તાવેજો સાથે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 3,44,513 મતદારો જેમાં નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સિસવાળા મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી – AERO કક્ષાએથી રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી 3,37,310 મતદારો દ્વારા મતદારયાદીમાં નામ ચાલુ રાખવા પોતાની ઓળખના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે 7210 મતદારો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન હોવાના કારણે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. વિવિધ કેટેગરી વાઇઝ જોઈએ તો 18 થી 19 વર્ષના 26,591 મતદારો, દિવ્યાંગ મતદારો 12929, 80 વર્ષથી વધુ વયના મતદારો 44690 તો 100 વર્ષથી વધુ વયના 460 મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં, નવા નામ ઉમેરવા 33452 ફોર્મ-6 ભરાયા, નામ કમી કરવા માટે 9245 ફોર્મ-7 ભરાયા, સ્થળાંતર તેમજ અન્ય વિગત સુધારવા માટે 33539 ફોર્મ-8 ભરાયા હતા. આમ કુલ 76,236 હક્ક-દાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં 8 વિધાનસભા મત વિસ્તારમાં 20,88,779 મતદારો તથા 598 સેવા મતદારો (સર્વિસ વોટર્સ) મળીને 20,89,377 મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નામો સામે અથવા કમી કરવામાં આવેલ નામો અંગે કોઈ મતદારનો વાંધો હોય તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આર.પી. એક્ટ 1950ની કલમ 24 (એ) હેઠળ મતદાર નોંધણી નિયમો 1960ના નિયમ 27થી નિયત કરેલ રીતે અપીલ દાખલ કરી શકે છે. રાજકોટ જિલ્લામાં વિધાનસભા વાઈસ મતદારોવિધાનસભા - મતદારો 68 રાજકોટ પૂર્વ - 2,52,25069 રાજકોટ પશ્ચિમ - 2,97,73370 રાજકોટ દક્ષિણ - 2,09,14671 રાજકોટ ગ્રામ્ય - 3,59,64872 જસદણ - 2,58,41473 ગોંડલ - 2,13,00874 જેતપુર - 2,54,65575 ધોરાજી - 2,44,523
હિંમતનગરના ઉમાશંકર ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ:વાહન બંધ પડતા સર્જાયો જામ, પોલીસ ઘટનાસ્થળે
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ તરફ જતા ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મોતીપુરા તરફ એક વાહન ટેક્નિકલ ખામીને કારણે બંધ પડી જતાં આ સ્થિતિ ઊભી થઈ હતી. લાંબા સમયથી સર્જાયેલા આ ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય બસ સ્ટેન્ડથી મોતીપુરા તરફનો ટ્રાફિક ગીરધરનગર થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે, આ ડાયવર્ઝન રૂટ પર પણ ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. AAPએ જણાવ્યું કે આ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. પાર્ટીના મતે, આ ડીલથી ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ખાસ કરીને, જો ડેરી ઉત્પાદનોને શૂન્ય આયાત ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવે, તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે, જ્યારે ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન થવાથી કપાસની ખેતી પણ પ્રભાવિત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. આમ આદમી પાર્ટીએ ભારત સરકાર દ્વારા ટ્રેડ ડીલની વિગતો પારદર્શક રીતે જાહેર ન કરવા બદલ પણ સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ, અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે, જે ચિંતાજનક છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ આ ટ્રેડ ડીલનો સખત વિરોધ કર્યો છે અને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. જો આ ડીલ રદ નહીં થાય, તો AAP એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો તથા ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલનો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. પાવીજેતપુર તાલુકાના વડાતળાવ ચાર રસ્તા પાસેથી પોલીસે ₹7,83,240/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ સાથે ₹5 લાખની કિંમતની એક બલેનો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹12,83,240/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. LCB ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પાવીજેતપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ટેલિફોનિક બાતમી મળી હતી કે, નંબર વગરની સફેદ બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો વડાતળાવ ચાર રસ્તા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી અને શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ કાર ઉભી રાખી ન હતી અને ગાડી મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2440 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹7,83,240/- આંકવામાં આવી છે. આ અંગે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારિયા વડે વકીલો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાળ જાહેર કરી છે. હાજર વકીલોએ હુમલાખોરને પકડી પોલીસને સોંપ્યોઆ ઘટના પાટણ જિલ્લા કોર્ટમાં દિવસ દરમિયાન બની હતી, જ્યારે 200 થી વધુ વકીલો ગ્રાઉન્ડ ફ્લોર પરના વકીલ રૂમમાં હાજર હતા. અજાણ્યા હુમલાખોરે પોતાના ફેટામાં છુપાવેલું ધારિયું કાઢીને વકીલો પર ફેંક્યું હતું. આ અણધાર્યા હુમલાથી અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ કોઈ વકીલને ઈજા થઈ ન હતી. હાજર વકીલોએ હિંમતભેર હુમલાખોરને પકડી પાડી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપઆ ઘટનાને કારણે વકીલોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. વકીલ આર.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, હુમલાખોર અગાઉ પણ બે-ચાર વખત વકીલ રૂમમાં આવ્યો હતો. વકીલોએ આક્ષેપ કર્યો છે કે, 10 દિવસ પહેલા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટમાં અજાણી વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને હથિયારધારી પોલીસની તૈનાતી વધારવામાં આવે. તેમ છતાં સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટમાં બે દિવસ પહેલા જ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ તેનું ફિટિંગ બાકી હોવાથી તેનો ઉપયોગ શરૂ થયો નહોતો. આનો લાભ લઈને હુમલાખોર હથિયાર સાથે અંદર ઘૂસી શક્યો હતો. વકીલોએ ઘટનાના CCTV ફૂટેજની માંગણી કરીપાટણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ બારના પ્રમુખ સુભાષ એચ. ઠાકોરે આ હુમલાને ગંભીર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વકીલોની સુરક્ષા સાથે કોર્ટ પરિસરની સુરક્ષા પણ અનિવાર્ય છે. વકીલોએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ (PDJ) સમક્ષ માંગણી કરી છે કે આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ઘટનાસ્થળનું પંચનામું કરવામાં આવે. વકીલોએ ઘટનાના CCTV ફૂટેજની પણ માંગણી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ અને પંચનામું નહીં થાય ત્યાં સુધી તેઓ કામકાજથી અળગા રહેશે. કડક ચેકિંગની માંગણી કરવામાં આવીઆ સમગ્ર મામલે હવે વકીલો દ્વારા 'એડવોકેટ પ્રોટેક્શન એક્ટ'ની માંગણી તેજ કરવામાં આવી છે. વકીલોનું કહેવું છે કે જેમ હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈઓના બોર્ડ હોય છે, તેમ વકીલો પર થતા હુમલા રોકવા માટે પણ કડક પ્રોટેક્શન બિલ લાવવું જોઈએ. હાલમાં પાટણના તમામ વકીલો કામકાજ બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે અને એસ.પી. તેમજ કલેક્ટરને રજૂઆત કરી હથિયારધારી પોલીસ અને કડક ચેકિંગની માંગણી કરવામાં આવી છે.
રામપરામાં બે માસથી દૂષિત પાણી:ગ્રામજનો શુદ્ધ પાણી માટે તંત્રને રજૂઆત કરી, રોગચાળો ફાટી નીકળવાનો ભય
ગઢડા તાલુકાના રામપરા ગામના પ્લોટ વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. આ અંગે રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક મહિલાઓ એકત્ર થઈ હતી. તેમણે સરપંચને સ્થળ પર બોલાવી તાત્કાલિક દૂષિત પાણી બંધ કરી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. સરપંચે મહિલાઓને ખાતરી આપી હતી કે, આગામી થોડા દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
સંતવાણી પ્રવચન:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે કહ્યું- હિંમત કરનારની જ કિંમત થાય છે
સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે તેમના સંતવાણી પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ દુનિયામાં હિંમત કરનારની જ કિંમત થાય છે. તેમણે મહાપુરુષોના ઉદાહરણો દ્વારા આ વાતને સ્પષ્ટ કરી હતી.તેમણે કહ્યું કે અનેક વિરલ પુરુષોએ અંધકારમાં દીવો પ્રગટાવ્યો છે અને સમાજમાં ક્રાંતિ લાવીને નવો માર્ગ ચીંધ્યો છે. ભક્ત પ્રહ્લાદે પિતાથી ડર્યા વિના નાનપણથી જ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. નરસિંહ મહેતાએ 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ગાઈને સંસારમાં રહીને નિર્લેપ ભક્તિ શીખવી હતી.આ સંદર્ભમાં, ૮૪ વર્ષ પૂર્વે વચનામૃતના આચાર્ય સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજીએ પોતાના શિષ્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજ્ઞા કરી હતી કે, જો કારણ સત્સંગ દેશ-વિદેશમાં ફેલાવવો હોય, તો એક શિષ્ય બનાવીને મારી પાસે લાવે. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ કાર્યને સફળ બનાવ્યું. સંવત ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજના દિવસે તેમણે એક સંતને દીક્ષા આપી. શ્રી આનંદપ્રિયદાસજીને જોઈને સદ્ગુરુએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, હવે મારી છાતી ઠરી.ત્યારબાદ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શૂન્યમાંથી સર્જન કર્યું. તેમણે દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવિધ રીતે પ્રચાર અને પ્રસાર કર્યો.આમ, જે મહાપુરુષો પ્રચંડ પુરુષાર્થ કરીને હિંમત રાખે છે અને અદ્ભુત કાર્યો કરે છે, તેમની જ સમાજમાં કિંમત થાય છે.
રાજ્યના રત્નકલાકારો માટે આ બજેટમાં ‘રત્નકલાકાર કલ્યાણ બોર્ડ'ની રચના કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 25 લાખ રત્નકલાકારો અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે 50 લાખ લોકો હીરા ઉદ્યોગ પર નિર્ભર છે. તેમ છતાં હાલ રત્નકલાકારોની કોઈ સત્તાવાર નોંધણી, ઓળખકાર્ડ કે કલ્યાણ યોજનાઓનો સીધો લાભ મળતો નથી. વૈશ્વિક મંદી બાદ ટેરિફને કારણે હીરા ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોવાથી રત્નકલાકારો અસુરક્ષિત માહોલનો સામનો કરી રહ્યા છે. તેમની રોજગારી અને આવક બંને અસ્થીર બન્યા છે. ત્યારે બાંધકામ ક્ષેત્ર માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ જેવી વ્યવસ્થા હીરા ઉદ્યોગમાં પણ હોવી જોઈએ, એવી માંગ ઉઠી છે. ભાવેશ ટાંક (વાઈસ પ્રેસિડેન્ટ, ડાયમંડ વર્કર યુનિયન) એ જણાવ્યું હતું કે, ગુજરાતના રત્નકલાકારો માટે આવનારા 2026 ના બજેટની અંદર 'રત્નકલાકાર કલ્યાણ બોર્ડ'ની જરૂર શું કામ? આ સૌથી મોટો પ્રશ્ન આજે તમામ લોકોને થઈ રહ્યો છે ત્યારે એની સ્પષ્ટતા કરીએ તો રત્નકલાકારોને જેવી રીતે બાંધકામ શ્રમિકોને લાભ મળે છે, એવી જ રીતે આ બોર્ડના માધ્યમથી વિવિધ લાભો મળી શકે. હોમ લોન સસ્તી મળે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ આ બોર્ડના માધ્યમથી મળી શકે. આરોગ્યની સુવિધાઓ આ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવે. રત્નકલાકારોના બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય, તેમને સબસિડી આપવામાં આવે. રત્નકલાકારોને જો સ્કીલ ડેવલપ (કૌશલ્ય વર્ધન) કરવી હોય તો તેની સુવિધાઓ પણ બોર્ડ દ્વારા મળે. એટલા માટે અમે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની માંગણી કરી રહ્યા છીએ અને આ માંગણી છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે. અમને આશા અને અપેક્ષા છે કે જો આ બોર્ડનું નિર્માણ થશે, તો ગુજરાતના 25 લાખ રત્નકલાકારો અને તેમના પરિવારો સાથે મળીને કુલ 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકીશું. આ બોર્ડની અંદર જનપ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને રત્નકલાકારોના પ્રતિનિધિઓને રાખવામાં આવે જેથી વહીવટ પારદર્શક રીતે જળવાઈ રહે. રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાતના રત્નકલાકારો માટે ખૂબ જરૂરી છે, ખાસ કરીને આવી મંદીની સ્થિતિમાં તેમને એક મોટો સહારો મળી રહેશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ હવે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકી કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વકીલો, અસીલો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર મોકલાયાઘટનાની વિગત મુજબ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈ-મેલ હેન્ડલ પર અજાણ્યા શખ્સ દ્વારા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો. ધમકીભર્યા મેલની જાણ થતા જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક ધોરણે આખું કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર મોકલી દઈ મેઈન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસર ખાતે ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા હાલ સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. અવારનવાર કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓને નિશાન બનાવવાની ધમકીઓને પગલે હાલ લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરતા ગુજરાત સરકાર ઐતિહાસિક શહેર વડનગરને પ્રગતિ અને પરંપરાના અજોડ સંગમ તરીકે વિકસાવી રહી છે. 2500 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ ધરાવતું આ શહેર આજે પુરાતત્વ અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર બન્યું છે. હેરિટેજ ટુરિઝમથી લઈને આધુનિક શહેરી માળખા સુધીના વિવિધ આયામો દ્વારા વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિશ્વના નકશા પર ઉભરી રહ્યું છે. ઐતિહાસિક વારસાનું સંરક્ષણ: અનુભવાત્મક મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલ વડનગરના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરવા માટે 300 કરોડના ખર્ચે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ ભારતનું પ્રથમ એવું મ્યુઝિયમ છે જે ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયેલી 5000 થી વધુ કલાકૃતિઓને 9 થીમેટિક ગેલેરીમાં પ્રદર્શિત કરે છે. બીજી તરફ, નરેન્દ્ર મોદીની પ્રારંભિક શૈક્ષણિક યાત્રાનું સાક્ષી એવું 'પ્રેરણા સંકુલ' વિશ્વનું પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર બન્યું છે. અહીં નવી ટેક્નોલોજી અને નૈતિક મૂલ્યોના સમન્વયથી વિદ્યાર્થીઓને ભાવિ ભારત માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ, અત્યાધુનિક સુવિધાઓ અને સોલાર સિસ્ટમથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ રમતગમત ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ગૌ-સંવર્ધન અને પર્યાવરણીય સુધારણા વડનગરના સર્વાંગી વિકાસમાં ગૌ-સેવાને પણ અગ્રતા આપવામાં આવી છે. અંદાજે 15 કરોડના ખર્ચે દેશની પ્રથમ ભવ્ય 'વૃંદાવન ગૌશાળા'નું નિર્માણ થઈ રહ્યું છે, જે 'રૂરલ ઇનોવેશન હબ' તરીકે કાર્ય કરશે. આ ઉપરાંત, જળ વ્યવસ્થાપન માટે 40 થી વધુ તળાવોને પરસ્પર જોડીને વરસાદી પાણીના સંગ્રહ અને કુદરતી ગ્રેવિટી ફ્લો સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. કાયાપલટ કરતા આધુનિક માળખાકીય કાર્યો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ વડનગરની સિકલ બદલાઈ રહી છે. હેરિટેજ પરિસર અને ફસાડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને પ્રાચીન હવેલીઓના સ્થાપત્યને જાળવીને તેને વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે. વીજ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં ઓવરહેડ વીજ લાઈનો હટાવી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન અને સોલરાઇઝેશન પર ભાર મુકવામાં આવ્યો છે. વિશ્વ વિરાસતની યાદી તરફ પ્રયાણ વડનગરને યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાવવા માટે રાજ્ય સરકાર સક્રિય છે. કીર્તિ તોરણ, બૌદ્ધ મઠના અવશેષો, હાટકેશ્વર મહાદેવ અને તાના-રીરી સ્મારકના રિસ્ટોરેશન કાર્યો પૂર્ણ થતા તે વિશ્વ કક્ષાનું ટુરિઝમ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. આયોજનબદ્ધ પુનર્વસન અને સ્લમ રિડેવલપમેન્ટ દ્વારા નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો લાવવામાં આવી રહ્યો છે.
તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
(IMAGE - IANS) India-Bangladesh Relations: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)એ ભવ્ય જીત મેળવી છે અને આજે, 17 ફેબ્રુઆરીએ તેઓ વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના પહેલાં જ રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયૂ કબીરે ભારત સાથેની 1996ની ગંગા જળ સંધિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
કતારગામ વિસ્તારમાં 'ગોટી ગેંગ'નો આતંક હવે જગજાહેર થયો છે. આઠ મહિના સુધી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ આખરે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. છેલ્લા નવ દિવસમાં ચિરાગ સામે અત્યાર સુધીમાં પાંચ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે તેની ગુનાહિત માનસિકતાના પુરાવા આપે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખાસ 'ટોર્ચર રૂમ' બનાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ લોકોને તાલિબાની સજા આપવા માટે થતો હતો. આલીશાન બંગલો કે ગુનાખોરીનું કેન્દ્ર?કતારગામની રાધેશ્યામ સોસાયટીમાં આવેલો ચિરાગ ગોટીનો બંગલો બહારથી જેટલો ભવ્ય અને આલીશાન દેખાય છે, તેની અંદરનું સત્ય એટલું જ ભયાનક છે. આ બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર એક એવો રૂમ બનાવવામાં આવ્યો છે જે શહેરના અનેક લોકો માટે કાળરાત્રિ સમાન સાબિત થયો છે. તપાસ દરમિયાન આ રૂમની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ બંગલો માત્ર રહેણાંક નથી, પરંતુ ખંડણી અને મારપીટનું મુખ્ય કેન્દ્ર બની ગયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલો ખાસ ‘ટોર્ચર રૂમ’બંગલાની અંદર પ્રવેશતા જ પાર્કિંગની એકદમ નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમ કોઈ સાધારણ બેઠક વ્યવસ્થા નથી, પરંતુ તેને ખાસ 'ટોર્ચર રૂમ' તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. પાર્કિંગની નજીક હોવાને કારણે કોઈપણ ભોગ બનનાર વ્યક્તિને ગાડીમાંથી ઉતારીને સીધો જ આ રૂમમાં લઈ જવો સરળ રહેતો હતો. આ રૂમમાં જે પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળી છે, તે આરોપીની ક્રૂરતાનો પરિચય આપે છે. તાલિબાની સજા અને થર્ડ ડિગ્રીનો આતંકઆ ટોર્ચર રૂમમાં ચિરાગ ગોટી અને તેની 'ગોટી ગેંગ'ના માણસો લોકોને લાવીને અમાનુષી અત્યાચાર ગુજારતા હતા. અહીં લોકોને રક્ષણના નામે લૂંટવામાં આવતા અને જો કોઈ પૈસા આપવાની ના પાડે તો તેને તાલિબાની સજા આપવામાં આવતી હતી. પોલીસને મળેલી વિગતો મુજબ, અહીં લોકોને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવતું હતું, જેથી તેઓ ડરના માર્યા ચિરાગની તમામ માગણીઓ સ્વીકારી લેતા હતા. આ રૂમની દીવાલો અને ત્યાંના દૃશ્યો ગુનાની સાક્ષી પૂરી રહ્યા છે. આ પણ વાંચો... ચિરાગ પર ચપ્પલ ફેંકાયા, ફાટેલાં કપડાં ને સુરતીઓનો ટપલી દાવ, રિકન્સ્ટ્રક્શનમાં પોલીસે ગોટીને માંડ માંડ બચાવ્યોબંગલાની ચારે બાજુ હાઈ-ટેક સીસીટીવી ચિરાગ ગોટીએ પોતાના આ ગુનાહિત સામ્રાજ્યને સુરક્ષિત રાખવા માટે બંગલાની ચારે બાજુ હાઈ-ટેક સીસીટીવી કેમેરાનું જાળ બિછાવ્યું હતું. બંગલામાં કોણ આવે છે અને કોણ જાય છે તેના પર તે સતત નજર રાખતો હતો. નવાઈની વાત એ છે કે, જે ટોર્ચર રૂમમાં લોકો પર અત્યાચાર થતો હતો, તેની બહાર પણ કડક નજર રાખવામાં આવતી હતી જેથી કોઈ પુરાવો બહાર ન જઈ શકે અને પોલીસથી બચી શકાય. આ પણ વાંચો… રડતાં રડતાં ઘૂંટણિયે પડી હાથ જોડ્યા છતાં લાફા ઝીંક્યા, યુવકને ઉંધો સુવડાવી ડંડા માર્યારિકન્સ્ટ્રક્શન દરમિયાન પ્રજાનો રોષજ્યારે સુરત પોલીસ ચિરાગ ગોટીને તેના બંગલે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્ષોથી આ ગેંગના ત્રાસનો ભોગ બનેલા લોકોએ ચિરાગ ગોટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની આ ભીડ એ વાતની સાબિતી હતી કે આ વિસ્તારમાં ચિરાગ ગોટીનો કેટલો મોટો ખૌફ હતો અને તેની ધરપકડથી લોકોમાં ન્યાયની આશા જાગી છે. આ પણ વાંચો…સુરતના ગુંડા ગોટી મામલે ભાજપના નેતા MLA મોરડિયા સામે મેદાને પોલીસની કાર્યવાહી અને ફરાર આરોપીઓહાલ સુરત પોલીસ ચિરાગ ગોટી વિરુદ્ધ નોંધાયેલા પાંચેય કેસોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ મામલે પોલીસ દ્વારા ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ગુનાઓમાં સામેલ હોવાનું મનાય છે. જોકે, ચિરાગનો ભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર છે. પોલીસની અલગ-અલગ ટીમો તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.
ગરીબ વેપારીઓ સામે ગુનેગારો જેવું વર્તન કેમ, ભાવનગર મનપામાં કોંગ્રેસનો આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી ભાવનગર શહેરના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળા છેલ્લા એક મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન ના દબાણ હટાવ વિભાગ દ્વારા હેરાનગતિ કરી રહ્યા છે અને દબાણો અને સાધનો જપ્ત કરી કાર્યવાહી કરી રહી છે ત્યારે આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગંગાજળીયા તળાવ થી કોર્પોરેશન સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો, આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલની આગેવાનીમાં ભાવનગર મહાનગરપાલિકા ખાતે નાના અને મધ્યમ વર્ગ, લારીવાળા અને પાથરણાવાળા, એ લોકો સાથે અહીં કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે, આ લોકોને છેલ્લા એક મહિના કરતા વધુ સમયગાળાથી પોતાનો વેપાર કરવા દેવામાં આવતો નથી, તો હું એટલું જ પૂછવા માંગુ છું અને એટલું જ કહેવા માંગુ છું કે ગરીબ અને નાના મધ્યમ વર્ગના જે વેપારીઓ છે, જે પોતાના પરિવારની પરવરીશ કરી રહ્યા છે, એ તમને નડે છે શું? આ લોકો સાથે ક્રિમિનલ માણસો હોય, દારૂ વેચતા હોય, ડ્રગ્સ વેચતા હોય, ગાંજો વેચતા હોય એવું વર્તન શું કામ કરવામાં આવે છે, આ લોકો એક નંબરનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તો આવા લોકોને હેરાન કરવાથી ફાયદો શું ? વધુમાં જણાવ્યું હતું કે, આપણી એટલી તો તાકાત હોય તો મોટા બિલ્ડર અને મોટા ઉદ્યોગપતિઓના દબાણો હટાવી શકીએ, અને નાના લારી અને ગલ્લાવાળા જ તમને નડે છે, સિટી બસને અડચણરૂપ આ કોઈ વેપારી વર્ગ નથી. આ લોકોની કોઈની લારી કે પાથરણા સિટી બસના રૂટમાં આવતા નથી, અમારી માંગણી છે કે આગામી દિવસોમાં જો આ લોકોને વધુ હેરાન કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ આના કરતા પણ મોટું ઉગ્ર આંદોલન કરશે અને તેમાં જે પણ બનાવ બને તેની તમામ જવાબદારી મહાનગરપાલિકાના તંત્રની રહેશે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં નવા ઓક્સિજન પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના રમતગમત પ્રેમીઓ અને ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 9 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીજ્ઞેશ નિર્મલનો સમાવેશ થાય છે. કમિશનર દ્વારા રજૂ કરાયેલી અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો પર વિચારણા કર્યા બાદ, સમિતિએ ભીમા વુડની સામે આવેલી કોન્ટ્રીબ્યુશન લેન્ડ પર નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે. આ ગ્રાઉન્ડ જામનગરમાં ક્રિકેટના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આ ઉપરાંત, ફૂટબોલના ખેલાડીઓ માટે ટી.પી. સ્કીમ નં.1, ફાઈનલ પ્લોટ નં. 91 (પોલીસ હેડક્વાટર્સની પાછળ) ખાતે અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવાની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા યુવાધનને રમતગમત માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ છે. વોર્ડ નંબર 5, અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલા પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવાનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 144.85 લાખ થશે. આ માટે જામસતાજી શત્રુસલ્યસિંહજી મહારાજા સાહેબ-જામ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પાર્ક 16,066 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની પરિમિતિમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. આ ઓક્સિજન પાર્કમાં શરીરના સાત ચક્રો મુજબ વૃક્ષારોપણ અને પેવિંગ કરવામાં આવશે. મુલાધાર ચક્ર માટે લાલ, સ્વાધિષ્ઠાન ચક્ર માટે કેસરી, મણિપુર ચક્ર માટે પીળો, અનાહત ચક્ર માટે લીલો, વિશુદ્ધિ ચક્ર માટે દુધિયા, આજ્ઞા ચક્ર માટે બ્લુ અને સહસ્ત્રાર ચક્ર માટે જાંબલી રંગનો ઉપયોગ થશે. અહીં C-4 કેટેગરીના વધુ ઓક્સિજન આપતા વૃક્ષો વાવવામાં આવશે, જે ચક્રોને સક્રિય કરીને શરીરમાં ઊર્જાનો સંચાર કરવામાં મદદ કરશે. પાર્કમાં 335 મીટર લંબાઈના ચાર વોક-વે પણ બનાવવામાં આવશે.
ભરુચ આમ આદમી પાર્ટીનો અમેરિકા-ભારત ટ્રેડ ડીલ સામે વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરી
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આવેદનપત્ર મુજબ, અમેરિકા સાથે થયેલી આ ટ્રેડ ડીલના કારણે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. ખાસ કરીને, જો ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે દેશના પશુપાલકો માટે ઘાતક સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત્ રહેશે તો ટેક્સટાઈલ ઉદ્યોગ પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ અસરગ્રસ્ત બનશે તો કપાસની ખેતી પર પણ પ્રતિકૂળ અસર પહોંચી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ શકે છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર ટ્રેડ ડીલની સંપૂર્ણ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રાલય તરફથી ભારતીય બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખુલ્લું મુકાયું હોવાના નિવેદનો સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગણી કરી હતી. પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. ખેડૂતો, પશુપાલકો તથા ઉદ્યોગોના હિત રક્ષાર્થે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન યોજવામાં આવશે.
માધાપરમાં ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી:16.67 લાખના મુદ્દામાલ સાથે સાત ખેલીઓને ઉઠાવ્યા, બે વોન્ટેડ
ભુજ શહેર વિસ્તારમાં જુગારની બદ્દી દિન પ્રતિદિન વધતી રહે છે જેને ડામવા પોલીસતંત્ર પણ સતત વ્યસ્ત રહે છે. દરમ્યાન ગત રાત્રે પશ્ચિમ કચ્છ LCB ને મોટી સફળતા મળી છે. લેબની મળેલી બાતમી ના આધારે માધાપરની સાત જોટા બજારની પાછળ,નવાવાસ, માધાપર ખાતે રહેતા ચંદ્રસિંહ બાલુભા જાડેજાના રહેણાકના મકાનના ઉપરના માળે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં શકુની શિષ્યો ગંજીપાના વડે તીન પત્તીની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તપાસ કરતા માહિતી મળેલ હતી કે, ચંદ્રસિંહ બાલુભા જાડેજા તેના મકાનના રૂમમાં બહાર થી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. LCB એ તુરંત વર્કઆઉટ કરી આરોપીઓ પાસેથી રોકડ રકમ, કાર, મોબેલફોન મળી કુલ રૂપિયા ₹ 16,67,600 ના મુદ્દામાલ સહિત સાત ની અટકાયત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય બે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ આરોપીઓ- દિલીપસિંહ મેરામણજી જાડેજા ઉ.વ.૪૦ રહે.નરનારાપણ નગર, જુનાવાસ માધાપર તા.ભુજ- પંકજ બાબુભાઇ આહીર ઉ.વ.૪૨ રહે.દાતારપીર સોસાયટી, કુકમા તા.ભુજ- કાંતીલાલ વેલજી ઠક્કર ઉ.વ.૬૦ રહે.સુરક્ષા સોસાયટી, જુનાવાસ, માધાપર તા.ભુજ- અશ્વિન ઉર્ફે પપ્પુ અનીલભાઇ ઠક્કર ઉ.વ.૪૦ રહે. સ્વામીના રાપણ નગર, જુનાવાસ, માધાપર તા. ભુજ- તેજસ શાંતીલાલ રાઠોડ ઉ.વ.૫૫ રહે.મૈત્રી પાર્ક, જુનાવાસ, માધાપર તા.ભુજ- નરસિહ ગોપાલભાઇ જાટીયા ઉ.વ.૪૯ રહે. મમુઆરા તા.ભુજ- નવલસિંહ હઠુભા વાઘેલા ઉ.વ.૪૫ રહે. વર્ધમાન નગર, માધાપર તા.ભુજ પકડવાના બાકી આરોપીઓ- ચંદ્રસિંહ બાલુભા જાડેજા રહે. સાત જોટા બજારની પાછળ, નવાવાસ, માધાપર તા.ભુજ- ઉદયરાજ સોલંકી
સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Image Source: IANS Salim Khan Health News: જાણીતા સ્ક્રીનરાઇટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી છે. તેમને મંગળવારે(17 ફેબ્રુઆરી) લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં સાહિત્યપ્રેમીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા અને લેખક જય વસાવડા હાજર રહ્યા હતા. તેમણે માતૃભાષાનું મહત્વ, સંસ્કૃતિ સાથેનો તેનો અતૂટ સંબંધ અને નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જળવાઈ રહે તે અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. જય વસાવડાએ જણાવ્યું હતું કે, માતૃભાષા માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ તે આપણી ઓળખ અને સંસ્કારનું મૂળ છે. આ રાજ્યકક્ષાના કાર્યક્રમથી બોટાદ શહેરમાં એક સાહિત્યિક માહોલ સર્જાયો હતો, જેના કારણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીને નવી ઊર્જા અને દિશા મળી હતી. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ શાહ, કે.બી. કોલેજના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ મકવાણા, પ્રાધ્યાપક ગણ, કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના સાહિત્ય પ્રેમીઓ અને જાગૃત નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષકોને તાલીમ:6 દિવસ 4 વિષયના શિક્ષકોને તાલીમ અપાશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષકો માટે છ દિવસીય તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. હિંમત હાઈસ્કૂલમાં આયોજિત આ તાલીમમાં તાલુકાના ચાર વિષયના શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. આ તાલીમનો હેતુ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. આ તાલીમ 16 ફેબ્રુઆરી 2026, સોમવારથી શરૂ થઈ છે અને 21 ફેબ્રુઆરી 2026, શનિવારે પૂર્ણ થશે. દૈનિક સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી તાલીમ ચાલશે. કાર્યક્રમ મુજબ, 16 અને 17 ફેબ્રુઆરીના રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ, 18 અને 19 ફેબ્રુઆરીના રોજ ભાષા વિષયના શિક્ષકો અને 20 તથા 21 ફેબ્રુઆરીના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ અપાશે. ગઈકાલથી શરૂ થયેલી ગણિત અને વિજ્ઞાન વિષયની તાલીમમાં 60 શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. એમ.એસ. પ્રજાપતિ અને એમ.જે. પટેલ જેવા નિષ્ણાત ટ્રેનરો દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તાલીમમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, ICT અને AI નો ઉપયોગ, અસરકારક વર્ગ શિક્ષણ અને અવલોકન, SWOC એનાલિસિસ, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ (NSA) અને NCF-SE અનુસાર માધ્યમિક તબક્કાના વિવિધ વિષયોનું માળખાકીય માળખું જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે ગણિત અને વિજ્ઞાન પેડાગોજી વિષયની તાલીમ તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી.
રાજકોટ-મોરબી બાયપાસ રોડ પર આવેલી એક હોટલ સામેથી પસાર થઈ રહેલા સ્કૂટરને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર બે કૌટુંબિક ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી મૌલિકભાઈ કાંતિલાલ વીરપરિયા (ઉં.વ. 25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેઓ અને તેમના કૌટુંબિક ભાઈ કુલદીપભાઈ પ્રવીણભાઈ વીરપરિયા સ્કૂટર નંબર GJ 36 AM 4193 પર જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં મૌલિકભાઈને માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી, જ્યારે કુલદીપભાઈને ચહેરા પર અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હોવાથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૌલિકભાઈની ફરિયાદના આધારે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ, બંને ભાઈઓ તેમના પરિવારમાં વડીલના અવસાનના માઠા પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
(IMAGE - WIKIPEDIA) NGT approves Great Nicobar Mega Infra Project: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ની 6 સભ્યોની સ્પેશિયલ બેન્ચે અંદાજે ₹81,000 કરોડના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ'ને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે સોમવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરીમાં દખલ કરવાનું કોઈ નક્કર કારણ જણાતું નથી, કારણ કે તેમાં પર્યાવરણની સુરક્ષા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના દહીસરમાં 100થી વધુ લોકો સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર અને MPID ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના ત્રિપુટી હાલમાં નરોડા ખાતે રહેતા સુજીત દેવ નામના આરોપીએ તેના સાથીઓ સાથે મળીને લોકોને કરન્સીના નામે છેતરી કરોડો રૂપિયા પડાવી લીધા હતાં. ચાર ગણા નફો મેળવવાની લાલચ આપીને લોકોને ફસાવતોઆરોપી સુજીતએ વર્ષ 2021માં મહારાષ્ટ્રના દહીસરમાં અન્ય ભાગીદારો સાથે મળીને ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ શરૂ કરી હતી. આરોપીએ દહીસર અને આસપાસના વિસ્તારના લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ચાર ગણો નફો મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ઘણા ગ્રાહકોએ રોકાણ કર્યું હતું. 100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી આરોપી સુજીત દેવ આ રોકાણકારોના પૈસા બારોબાર લઈને ભાગી ગયો હતો. આ કૌભાંડમાં 100થી વધુ ભોગ બનનાર લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી આ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને દબોચ્યોઆ મામલે મુંબઈના દહીંસર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આત્મીના આધારે વોન્ટેડ આરોપી સુજીત શંકરરાવ દેવ (ઉ. વ. 47) ને અમદાવાદ એરપોર્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે આરોપી ને દહીસર પોલીસને સોંપવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરની જિલ્લા અદાલતને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તમામ ન્યાયિક કામગીરી અટકાવી દેવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલને પગલે પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સાવચેતીના ભાગરૂપે આખા સંકુલને ખાલી કરાવીને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. કોર્ટના દરેક માળ, પાર્કિંગ એરિયા અને ચેમ્બર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ આજે મંગળવારની સવારે જ્યારે કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ રહી હતી, ત્યારે અચાનક બોમ્બ હોવાની આશંકાનો ઈમેલ મળતા જ ન્યાયિક અધિકારીઓ અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જેના પગલે કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સલામતીના કારણોસર પોલીસે શાંતિપૂર્વક સંકુલ ખાલી કરાવ્યું હતું અને પ્રવેશદ્વારો બંધ કરી દીધા હતા. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડની ટીમો દ્વારા કોર્ટના દરેક માળ, પાર્કિંગ એરિયા અને ચેમ્બર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ધમકી મળી હતીનોંધનીય છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓને નિશાન બનાવી ધમકી આપવાનો આ પ્રથમ કિસ્સો નથી. થોડા સમય અગાઉ ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે સમયે પણ લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી અને તેને હોક્સ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે વારંવાર મહત્વની સરકારી કચેરીઓને આ રીતે નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. સચિવાલય વિસ્તારમાં પણ સુરક્ષા સઘન કરાઈસાયબર ક્રાઈમની ટીમ હાલમાં આ ધમકીભર્યા ઈમેલના IP એડ્રેસ અને તેના ઓરિજિનની તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોઈ શકે છે, પરંતુ કલેક્ટર કચેરી બાદ હવે કોર્ટ સંકુલને મળેલી ધમકી પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જ્યારે શહેરના અન્ય મહત્વના સંકુલ અને સચિવાલય વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે આ ધમકી પાછળનો અસલ ઈરાદો શું હતો.
જામનગરના વોર્ડ નંબર 6 માં રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે તોળાઈ રહેલું ડિમોલીશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી રેલવે અને વહીવટી તંત્ર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી સેંકડો સ્થાનિકોને મોટી રાહત મળી છે. વોર્ડ નંબર 6 માં આવેલા હનુમાન ટેકરી અને સિદ્ધાર્થ નગર સહિતના વિસ્તારોમાં અંદાજે 1500 થી 2000 જેટલા રહેવાસીઓને તેમના મકાનો સાત દિવસમાં ખાલી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અચાનક બેઘર થવાના ભયથી, ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓના સમયે, સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ હતો. આ પરિસ્થિતિને પગલે પ્રભાવિત લોકો ગત શુક્રવારે રાત્રે સાંસદ પૂનમબેન માડમનો સંપર્ક કર્યો હતો. દિલ્હીથી લોકસભા સત્રમાંથી પરત ફરેલા સાંસદે મોડી રાત્રે પણ લોકોની રજૂઆતો સાંભળી હતી અને તેમને રાહત આપવા તથા બે દિવસમાં બેઠક યોજવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલવે વિભાગના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ પાસાઓ પર ઝીણવટપૂર્વક વિચારણા કર્યા બાદ માનવતાવાદી અભિગમ અપનાવીને હાલ પૂરતી ડિમોલીશન સહિતની તમામ આનુષંગિક કાર્યવાહીઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયથી સ્થાનિકોને તાત્કાલિક મોટી રાહત મળી હતી, જેના પગલે પ્રભાવિતોએ સાંસદ પૂનમબેન માડમનો ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદે રેલવે તંત્રને ભવિષ્યમાં પણ આવા કિસ્સાઓમાં પ્રભાવિતોને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પૂરતો સમય મળે તે રીતે કાર્યવાહી કરવા તાકીદ કરી છે. રેલવે દ્વારા જરૂરિયાત મુજબના મકાનો માટે બે થી ત્રણ મહિનાનો સમય આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ₹363 લાખના ખર્ચે 5000 મેટ્રિક ટન ક્ષમતાના આધુનિક ગોડાઉનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરથી વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું. આ સુવિધાથી પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓને તેમની જણસીના સંગ્રહ માટે મોટી મદદ મળશે. પાટણ APMCના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના આર્થિક સહયોગ અને સહકારિતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ મોટા કદના ગોડાઉનની મંજૂરી મળી હતી, જે પાટણ અને ઉત્તર ગુજરાત માટે ગૌરવ સમાન છે. આ પ્રસંગે પાટણ APMC ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ આગામી સમયમાં પાટણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેતીવાડી અર્થતંત્રને વેગ આપશે. 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્રને સાર્થક કરવા માટે સહકારિતા મંત્રાલય દ્વારા APMC અને ગ્રામ્ય સ્તરની સેવા મંડળીઓને સક્ષમ બનાવવાની દિશામાં આ પ્રયાસ કરાયો છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને ખેડૂતોને તેમની જણસીના સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા પૂરી પાડવાનો આ ભગીરથ કાર્યનો મુખ્ય હેતુ છે. પાટણ APMC પરિવાર અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ આ પ્રોજેક્ટને વિસ્તારના વિકાસ માટે અત્યંત મહત્વનો ગણાવ્યો છે. નવા ગોડાઉનના નિર્માણથી સ્થાનિક સ્તરે જણસીના સંગ્રહની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. APMCના સત્તાધીશોએ કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યક્ત કરી આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા ખેતીવાડી બજારને વધુ સુદ્રઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે પાટડી લૂંટ કેસના બે ફરાર આરોપીઓ અને જોરાવરનગર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચડ્ડી બનીયાન ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પાટડી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતા ફરતા સતારસા આલમસા દીવાન અને હયાતખાન હુસેનખાન મલેક (બંને રહે. સેડલા, તા. પાટડી) ને સેડલા ગામની તળાવની પાળ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા. પો.હેડ.કોન્સ. અજયસિંહ ધર્મેન્દ્રસિંહે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આ સચોટ બાતમી મેળવી હતી. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ પાટડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર કુખ્યાત ચડ્ડી બનીયાન ગેંગના આરોપી રંગીતભાઈ બાદરભાઈ મીનામા (ઉં.વ. ૨૧, રહે. બીલીયા ગામ, તા. ધાનપુર, જિ. દાહોદ) ને અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પો.કોન્સ. શક્તિસિંહ જોરભા દ્વારા મેળવેલી બાતમીના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી. તેને પણ કાયદેસરની કાર્યવાહી બાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પેરોલ ફર્લો ટીમના કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી, હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયાસ કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી રંગીતભાઈ મીનામાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તે જામનગરના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7609 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં 63.21 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિ દ્વારા 7672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટની મંજૂરી માટે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આરંભ આજથી થયો છે. અંદાજે 3 દિવસ સુધી આ વિશેષ સામાન્ય સભા યોજાશે. આજે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સભા સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 'લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન'સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરના નાગરિકો ઉપર કોઈ પણ જાતનો કર દરનો વધારો કરવામાં આવ્યો નથી. વડોદરાના નાગરિકો માટે વેરો ભરવામાં તકલીફ ન પડે તે માટે ઓનલાઇન વેરો ભરી શકાય તે માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા ઇન્ડસ્ટ્રીયલ હબ છે ત્યારે સીએસઆર એક્ટિવિટી અંતર્ગત વિકાસ કાર્યોને વેગ મળે તે માટેનું પણ આયોજન કરવામ આવ્યું છે. વડોદરા મનપાની જૂની ઈમારતો તોડી નવી ઈમારતો બનાવવાનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન છે. જે અંગેની મંજૂરી માટે રજૂ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા છઠ્ઠી વખત બજેટ રજૂ થયુંસામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા બોર્ડની ટર્મ પંચ વર્ષની હોય છે જેથી પાંચ બજેટ રજૂ કરી શકે છે. પરંતુ આ બોર્ડ દ્વારા છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે ઐતિહાસિક છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સતત ત્રીજી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું મહિલાઓ માટે પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ વડોદરા શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત પિંક ફીડિંગ રૂમ બનાવવા માટેનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ ઝોનમાં આ આયોજનો હાથ ધરવામાં આવશે. 30 હજાર પ્રધાનમંત્રી આવાસો બનશેવડોદરા શહેરમાં આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 30,000 મકાનો બનાવવાનું આયોજન છે. એક વર્ષમાં 10,000 મકાનો બનાવવામાં આવશે જે અંગેનું સૂચન બજેટમાં કરવામાં આવ્યું છે. વડોદરાના વિકાસની ગતિ 3થી 4 ગણી વધીમહાનગરપાલિકાના કેપિટલ એક્સપેન્ડિચરમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં શહેરની વિકાસની હતી 3થી 4 ગણી વધી છે એમ સ્થાયી સમિતિના ચેરમેને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું. અઠવાડિયામાં એક દિવસ સર્વેશ્વર મહાદેવની આરતી વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની અઠવાડિયામાં એક વખત ભવ્ય આરતી કરવામાં આવે તેવું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. સુવર્ણજડિત પ્રતિમાં સમક્ષ નાગરિકોની જોડાણ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાતા નબીનના આ પ્રવાસને લઈને સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહારમાં મંત્રીપદ સુધીની સફર કરનાર નબીન હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે. ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે અને મહેસાણા-વડનગરનો સામાન્ય કાર્યકર પણ દેશનો વડાપ્રધાન બની શકે તેવો ઉદાહરણ ભાજપે પૂરું પાડ્યું છે, એવી પ્રતિક્રિયા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપી હતી. 20 ફેબ્રુઆરી: સ્વાગતથી બજેટ મીટ સુધી20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ સ્વાગત કાર્યક્રમ યોજાશે. બપોરે 3:30 વાગ્યે જીએસસી બેંક ખાતે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાશે. સાંજે 5:30 વાગ્યે ગાંધીનગર ખાતે બજેટ મીટમાં સંવાદ કરશે. 21 ફેબ્રુઆરી: ધાર્મિક દર્શનથી યુવા સંવાદ21મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અટલબ્રિજ પર મોર્નિંગ વોક કરશે. ત્યારબાદ 8:45 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ખાતે દર્શન કરશે. સવારે 11 વાગ્યે કમલમ ખાતે પદાધિકારીઓ અને હોદેદારો સાથે બેઠક યોજાશે. બપોરે 2 વાગ્યે સોશિયલ મીડિયા ટીમ સાથે સંવાદ કરશે. સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટીમાં યોજાનાર ‘યંગ વોઇસ સમિટ’માં યુવાઓને સંબોધિત કરશે અને 5:30 વાગ્યે જીએમડીસી ખાતે બૂથ સ્તરના કાર્યકરો સાથે બેઠક કરશે. 22 ફેબ્રુઆરી: મન કી બાત અને દિલ્હી પ્રસ્થાન22મી ફેબ્રુઆરીએ હેરિટેજ ખાડિયા ખાતે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરશે અને બપોરે 12:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ત્રણ દિવસીય આ પ્રવાસ દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવી ઉર્જા ભરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તાદરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગેવગે કરવાનું ભોપાળું ઝડપાયું હતું. આ કેસમાં પુરવઠા વિભાગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલ તો કે-40 નંબરની વ્યાજબી ભાવની દુકાન સીલ કરી દેવામાં આવી છે. તેમજ દુકાનનો ઘઉં-ચોખાનો જથ્થો સીઝ કર્યો છે. આ સાથે જ આ દુકાનમાં રહેલો સરકારી અનાજનો જથ્થો એક કરતાં વધુ દુકાનોનો હોવાથી મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી અનાજને સગવગે કરવાનું કૌભાંડપુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં દુકાન નંબર કે-40 પરથી ઝડપાયેલો જથ્થો એક કરતા વધુ દુકાનનો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેથી શહેરની કઈ કઈ સસ્તા દરની દુકાનના સંચાલકો ગરીબોના હકનું અનાજ ઓહિયા કરી રહ્યા છે, તેના મૂળ સુધી પહોંચવા માટે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી શકયતાપુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં સચિન ગોડાઉનમાંથી સરકારી અનાજ વગે કરનારાઓ પૈકી કેટલાક ફરી સક્રિય થયા અને આ ભોપાળામાં તેઓએ પણ હાથ કાળા કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા અનાજમાફિયાઓ શહેરની કેટલાક વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની સાઠગાંઠમાં દર મહિને અનાજનો ચોક્કસ જથ્થો નવાગામ ગોડાઉન પરથી સીધો સીધો ડભોલી લાવીને ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા હોવાની બૂમ ઊઠી છે. જેને લઈને પણ પુરવઠા વિભાગમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં અંદાજિત 1200થી વધુ અનાજની ગુણીડભોલીની સસ્તા દરની દુકાન પર જાગૃત નાગરિકોએ દરોડા પાડયા ત્યારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. તેમજ આ વીડિયો રેકોર્ડિંગ કરી રહેલો વ્યક્તિ દુકાનમાં અંદાજિત 1200થી વધુ અનાજની ગુણી હોવાનું બોલી રહ્યા છે. હવે એકસાથે 1200 ગૂણી મળી આવવી એ મસમોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહી છે.
બાળક ગરમ પાણીથી દાઝ્યું:પંચમહાલના કાલોલમાં રમતા સમયે ઘટના, માસૂમ બંને પગે ગંભીર રીતે દાઝી ગયો
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રાબોડ ગામે એક 7 વર્ષીય બાળક ગરમ પાણીથી ગંભીર રીતે દાઝી ગયું છે. આ ઘટના રમતા સમયે બની હતી, જેમાં બાળક ન્હાવા માટે રાખેલા ગરમ પાણીના વાસણમાં પડી ગયું હતું. રાબોડ ગામના 7 વર્ષીય કરણ રમેશભાઈ ડાભીની માતાએ ન્હાવા માટે ગરમ પાણી તૈયાર કર્યું હતું. માતાએ ગરમ પાણીથી ભરેલું વાસણ ન્હાવા માટે રાખ્યું હતું, તે સમયે કરણ ઘરમાં રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક કરણનો પગ લપસતા તે ગરમ પાણીના વાસણમાં પડી ગયો હતો. આ કારણે તેના બંને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબે જણાવ્યું છે કે હાલ બાળકની સ્થિતિ સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.
ચારૂસેટ RPCP દ્વારા 'સ્પાર્કાથોન 2.0' યોજાઈ:30 શાળાઓના વિદ્યાર્થીઓએ નવીન વિચારો રજૂ કર્યા
ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) દ્વારા 21 જાન્યુઆરી, 2026ના રોજ 'સ્પાર્કાથોન 2.0 - ઇન્સ્પાયરિંગ યંગ માઇન્ડ્સ' ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની 30 શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝન્ટેશન અને આઈડિયા પિચિંગ દ્વારા પોતાના નવીન વિચારો રજૂ કર્યા હતા. આ ઇવેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઇનોવેશન કાઉન્સિલ અને ચારૂસેટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ક્યુબેશન સેલના સહયોગથી યોજાઈ હતી. રજૂ થયેલા પ્રોજેક્ટ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર, આયુર્વેદ-આધારિત વેલનેસ સોલ્યુશન્સ, રોબોટિક્સ, સસ્ટેનેબિલિટી, જાહેર સલામતી અને વિજ્ઞાન-ગણિત જેવા વિષયો મુખ્ય આકર્ષણ બન્યા હતા. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું. ડી.ઝેડ. પટેલ હાઇ સ્કૂલ, આણંદ પ્રથમ રનર-અપ અને પીએમ જવાહર નવોદય વિદ્યાલય, આણંદ દ્વિતીય રનર-અપ જાહેર થઈ હતી. આ કાર્યક્રમ દ્વારા સહભાગી વિદ્યાર્થીઓને શિક્ષણવિદો અને માર્ગદર્શકો સાથે વાર્તાલાપ કરવાની તેમજ વૈજ્ઞાનિક સંશોધનનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળી હતી. ઇવેન્ટના સફળ આયોજનમાં કો-ઓર્ડિનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વાતિ શર્મા, ડો. ઉમંગ શાહ અને ફેકલ્ટી ટીમે યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે CIVFના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશી અને IIC-CHARUSATના કો-ઓર્ડિનેટર ડો. જૈમિન ઉંડવિયાએ વિશેષ ટોક રજૂ કરી વિદ્યાર્થીઓને ઈનોવેશન પિચિંગ એપ્રોચ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આયોજકોએ ઇવેન્ટની સફળતા બદલ તમામ સ્પર્ધકો અને જજિસનો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લા અને સત્ર ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ 19 કોર્ટ રૂમ ખાલી કરાવ્યાંવકીલ હિતેશ ભંડારીના જણાવ્યા અનુસાર, ઈમેલ પર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ જાણ થતાં જ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તમામ 19 કોર્ટ રૂમ અને સમગ્ર સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન શરૂઘટનાની ગંભીરતાને જોતા DySP એ. કે. વર્મા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) ની ટીમને બોલાવી સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. SOG અને LCB ની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. કોર્ટ પરિસરમાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને કોર્ટમાં હાજર તમામ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ધમકીને પગલે કોર્ટની આજની તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. જે પક્ષકારોની આજે મુદત હતી, તેમને આગામી નવી તારીખ આપવામાં આવી છે. પોલીસ અને વકીલ મંડળ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાની પુષ્ટિ થઈ નથી.
જામનગરમાં યુવક પર લાકડાના ધોકાથી હુમલો:મોખાણા પાટિયા પાસેની ઘટના, વીડિયો વાયરલ થતાં પોલીસ સક્રિય
જામનગરમાં એક યુવક પર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના લાલપુર બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે આવેલા મોખાણા ગામના પાટિયા પાસે બની હતી. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસ સક્રિય થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર મોખાણાના પાટિયા પાસે એક યુવક એકલો ઊભો હતો. તે સમયે ત્રણ શખ્સોએ તેને ઘેરી લીધો હતો અને તેમની પાસે રહેલા લાકડાના ધોકા વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના આસપાસના કોઈ નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
પંચમહાલ ભાજપ પ્રમુખે વોર્ડ 4 માં બેઠક યોજી:સંગઠનને મજબૂત કરવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે ગોધરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગોધરા નગરના વોર્ડ નંબર 4 ની 'શક્તિ કેન્દ્ર સહ બુથ સમિતિ'ના સભ્યો સાથે ગોધરા એ.પી.એમ.સી. ખાતે આ પરિચય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મયંકભાઈ દેસાઈએ બુથ સ્તરના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સંગઠનલક્ષી વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. પ્રમુખ દેસાઈએ આગામી કાર્યક્રમો અને પક્ષની કામગીરીને જન-જન સુધી પહોંચાડવા માટે ઉપસ્થિત તમામ સભ્યોને સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ (FOB) પાસે બની હતી. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. GRP પોલીસ ચોકીમાંથી મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે આશરે 50 વર્ષના ભિક્ષુક જેવા લાગતા પુરુષનો મૃતદેહ FOBના પગથિયાં પાસે પ્લેટફોર્મ પર પડ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. GRP દ્વારા મૃતદેહની ઓળખ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજ દ્વારા બી.એસસી. નર્સિંગ અને જી.એન.એમ.ના ત્રીજા બેચ માટે દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ નર્સિંગના ઉન્નત ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની નિષ્ઠા અને સમર્પણ દર્શાવે છે. આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, એરીબાસના પરોપકારી અશોક પટેલ અને રીટા એ પટેલ, તેમજ AYUSH and Allied Health Sciencesના ડાયરેક્ટર ડો.આર.ડી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પરંપરાગત દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ દ્વારા નર્સિંગના ઉન્નત ક્ષેત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠતા માટે વિદ્યાર્થીઓને 12 શૈક્ષણિક પ્રગતિ એવોર્ડ અને 34 સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર સીધારામ સરાટેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા મેકવાન અને જુલીયા ચૌહાણે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શેરોનકેરલ રાજે કરી હતી. કાર્યક્રમની સફળતા બદલ ચારુતર વિદ્યા મંડળના પદાધિકારીઓ મનીષભાઈ પટેલ, એસ.જી. પટેલ, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર આવેલા શક્તિનગરના મહાકાળી મંદિર પરિસરમાં સોમવારે રાત્રે હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ જાગરણને નવી ઉર્જા અને ચેતના આપવાના હેતુથી આ સંમેલન સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતિકરૂપે યોજાયું હતું. આ કાર્યક્રમમાં બજાર વસ્તીના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે હિંદુ એકતાને દ્રઢ બનાવી સમાજમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચનથી થઈ હતી, જે શૈલેષભાઈ જોષી દ્વારા આપવામાં આવ્યું હતું. હિંમતનગરના કબીર આશ્રમના મહેન્દ્રદાસ બાપુના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. અધ્યક્ષ તરીકે દિનેશભાઈ સોની અને પરાગભાઈ દોશી, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે નિકેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પ્રમુખ પ્રેરણાબેન પરીખ અને જાનકીબેન રાવલ પણ હાજર રહ્યા હતા. આમંત્રિત સંતો અને મહેમાનોનું ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેન્દ્રદાસ બાપુએ નાત-જાતના ભેદભાવ છોડી સૌને સમરસ બની હિંદુ રાષ્ટ્રને સમર્પિત થવાની વાત કરી હતી. અતિથિ વિશેષ તરીકે સિનિયર સિટીઝન ઉપપ્રમુખ અરવિંદભાઈ કાંતિલાલ શાહ અને દ્વારકાધીશ ફાઉન્ડેશનના સોનલબેન દેસાઈએ હિંદુ સંમેલનને લગતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના મધ્યભાગમાં પ્રવીણભાઈ પંચાલ દ્વારા ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા નિવૃત્ત બેંક અધિકારી ભરતભાઈ પરમારે ભારત દેશના ભવ્ય ઇતિહાસ, સબળ હિંદુ સમાજ અને સંસ્કૃતિ, આક્રમણકારો દ્વારા થયેલા હુમલાઓ, સંઘની સ્થાપનાના ઉદ્દેશ્યો અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા નક્કી કરાયેલા પંચ પરિવર્તન – સામાજિક સમરસતા, પર્યાવરણ સુરક્ષા, સ્વબોધ, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય – વિશે પણ સમજાવ્યું હતું. તેમણે સૌને સંઘના વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ કમલેશભાઈ ઠક્કર દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા અને રામધૂન કરાવવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ ભારત માતાની આરતી સાથે થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ મોદીએ કર્યું હતું.
પાલનપુરમાં નગરપાલિકાએ 9 દુકાનો સીલ કરી:વેરો ન ભરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકાએ વેરો ન ભરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાલિકાએ સીટીલાઈટ રોડ પર આવેલી 9 દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ દુકાનો સીટીલાઈટ રોડ પર પ્રથમ માળે આવેલી છે. લાંબા સમયથી વેરો બાકી હોવાને કારણે નગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેરો ભરવામાં વિલંબ કરનારા સામે સખ્ત પગલાં લેવાશે. આ સીલિંગની કામગીરી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 7 કલાકે હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ ડામોર, પ્રવીણભાઈ ડાભી, દશરથજી ઠાકોર અને બિપિન પરમાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.
જામનગરના સર્જન સાથે ₹41.86 લાખની છેતરપિંડી:શેરબજારમાં રોકાણના બહાને પાંચ સામે ગુનો નોંધાયો
જામનગરમાં એક જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં એક શેર બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર સહિત પાંચ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા ડો. કિશોરભાઈ સાજનમલ મહેશ્વરી (ડો. કે.એસ. મહેશ્વરી)એ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ, એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, ડો. મહેશ્વરીએ ઉપરોક્ત પાંચ આરોપીઓ સાથે આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ કંપની મારફત શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 2009માં પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને જુદા જુદા શેરમાં રોકાણ કર્યું હતું. આરોપીઓએ અલગ અલગ કંપનીના શેર ખરીદ્યા બાદ ડો. મહેશ્વરીના એકાઉન્ટમાં જમા કરવાને બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરી લીધા હતા. આ રીતે કુલ રૂપિયા 41,86,556ની ઉચાપત કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ ડો. મહેશ્વરીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પી.એસ.આઈ. એમ.વી. મોઢવાડિયાએ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણના જૂનાગંજમાં નગરપાલિકાનું બુલડોઝર ફર્યું:25થી વધુ દબાણો હટાવાયા, 6x24 મીટરનો નવો શેડ બનશે
પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જૂનાગંજ વિસ્તારમાં 6 બાય 24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે સ્થળ પરના તમામ નડતરરૂપ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાયા છે. ભૂતકાળના આયોજનનું અમલીકરણ હવે શરૂ થયું છે. આ કામગીરી દરમિયાન અંદાજે 20 થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત, એક કાયમી દબાણરૂપ મિલકતને પણ નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન બાદ લોકોને ભાડાપટ્ટે એકસરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે. આ કાર્યવાહીથી જૂનાગંજ વિસ્તારમાં ટ્રાફિક અને ભીડની સમસ્યામાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો:ઠંડા પવનો ફૂંકાતા ઠંડક, ખેડૂતો ચિંતિત
મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આના કારણે જિલ્લામાં ફરી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આ ઉપરાંત, આંબાના બગીચાઓમાં હાલ મોર (મોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે. હાલ આકાશમાં ઘેરાયેલા વાદળો અને ઠંડા પવનો વચ્ચે લોકો હવામાનના આગામી વલણ પર નજર રાખી રહ્યા છે. ખેડૂત વર્ગ માટે આ બદલાતું વાતાવરણ ચિંતા અને આશા બંને સાથે સંકળાયેલું બન્યું છે.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (ઓટોનોમસ) દ્વારા તાજેતરમાં વાર્ષિક રમતોત્સવ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ અંતર્ગત સામરખાની એચ.એલ. પટેલ હાઈસ્કૂલ ખાતે ઇન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને રમતગમતના કૌશલ્યો વિકસાવવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ TY B.Sc. CA IT અને SY B.Sc. CA IT વચ્ચે રમાઈ હતી. આ મેચમાં SY B.Sc. CA ITની ટીમે વિજય મેળવી ચેમ્પિયનશીપ જીતી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો. નયન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્પોર્ટ્સ ઇન્ચાર્જ માઈકલ ક્રિશ્ચિયન દ્વારા સમગ્ર ઇવેન્ટનું સફળ સંચાલન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન એચ.એલ. પટેલ હાઈસ્કૂલના પ્રમુખ ભાવિન પટેલનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડો. બી.એન. પટેલ તેમજ આચાર્ય ડો. નયન પટેલે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી. કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવવાનો હતો, પરંતુ તે પહેલા ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. આજે આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે. ગુજરાત ATSએ ડ્રગ્સ પેડલર બે ઈરાનીની ધરપકડ કરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
રાજ્યમાં બેવડી ઋતુની અસર:48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી, ગરમી વધશે
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર શરૂ જોવા મળી રહી છે. સવારે સામાન્ય ઠંડી અને બાદમાં ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હાલ ઠંડીનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યું છે અને ગરમીની શરૂઆત થઈ છે. આગામી કલાકોમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં વધારો નોંધાશે. ડીસામાં 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડીસામાં 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં આજ સવારથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. શહેરમાં વિસિબિલિટી ઘટી ગઈ છે અને સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

30 C