પોલીસ પર હુમલો કરનાર બંને ઝડપાયા:ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન દરમિયાન બની હતી ઘટના
ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારે સવારે રંગોલી પુલ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રંગોલી પુલ પાસે ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે ઉત્સવભાઈ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષભાઈ યોગેશભાઈ દવે નામના બે ઈસમોએ પોલીસ સ્ટાફ સાથે માથાકૂટ કરી અસભ્ય વર્તન કર્યું હતું.આ ઘટના બાદ ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલે વરતેજ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉત્સવભાઈ દવે અને ઉત્કર્ષભાઈ દવે બંનેને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) માં કરાયેલા ફેરફારોના વિરોધમાં કોંગ્રેસે ગુજરાતભરમાં ધરણા પ્રદર્શન કર્યા છે. આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં યોજનામાં થયેલા બદલાવો અને નવી જોગવાઈઓનો વિરોધ કરાયો હતો. દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં મનરેગા યોજનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી મનરેગા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો. આ કાયદાએ ગ્રામ પંચાયતોને ગામમાં કયા કામો કરવા તે નક્કી કરવાની સ્વાયત્તતા આપી હતી. કોંગ્રેસે ભાજપ સરકાર પર ગરીબ અને મજૂર વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. પક્ષે દાવો કર્યો છે કે, સરકારે પંચાયતોના હકો છીનવી લીધા છે અને કેન્દ્ર-રાજ્ય વચ્ચે 60:40 ના નવા રેશિયોની વ્યવસ્થાથી યોજનાના અમલીકરણમાં અવરોધ ઊભો થયો છે. સરકારના 'કાળા કાયદા' વિરુદ્ધ કોંગ્રેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની રૂપરેખા જાહેર કરી છે. 29મી તારીખ સુધી ગામે-ગામ ગ્રામ પંચાયતોમાં સભાઓ યોજી લોકોને જાગૃત કરવામાં આવશે. 30મી તારીખે તમામ તાલુકા મથકો પર દેખાવો અને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જ્યારે 31મી તારીખે જિલ્લા કક્ષાએ વિશાળ આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે, જે રીતે ખેડૂતો માટેના કાળા કાયદાઓ પરત ખેંચવા પડ્યા હતા, તેમ મનરેગા યોજનાના રક્ષણ માટે પણ સરકારે ઝૂકવું પડશે. અમે મજૂરોને તેમના હક અપાવીને જ જંપીશું. કોંગ્રેસનો દાવો છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકાર 60% લોકોને પણ યોગ્ય રોજગારી આપી શકી નથી, ત્યારે 125 દિવસની રોજગારીની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે. આ મુદ્દે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
નવસારી LCBએ 48 લાખનો દારૂ ઝડપ્યો:ખેરગામ પાસે 10,956 બોટલ ભરેલી હાઈવા ટ્રક જપ્ત કરી
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ખેરગામના જામનપાડા પાસેથી ₹48.58 લાખનો દારૂ અને હાઈવા ટ્રક જપ્ત કરી છે. સેલવાસથી આવતી આ ટ્રકમાંથી ₹33.58 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને બ્રિજેશભાઈને બાતમી મળી હતી કે સેલવાસથી એક સફેદ કલરની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) દારૂનો મોટો જથ્થો લઈને નાનાપોંઢા અને ધરમપુર થઈને વડપાડા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્ટેટ હાઈવે નંબર 177 પર જામનપાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ટ્રક રોકવાને બદલે વધુ ઝડપે હંકારી મૂકી. પોલીસે પીછો કરતા ટ્રક ચાલકે આશરે 300 મીટર દૂર ટ્રક ઉભી રાખી દીધી હતી. તે રોડની બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરા અને આંબાવાડીમાં થઈને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે શોધખોળ કરી હોવા છતાં ચાલક મળી આવ્યો નહોતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બીયરનો મોટો જથ્થો મળી આવ્યો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 10,956 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹33,58,320 છે. આ ઉપરાંત, ₹15,00,000 ની કિંમતની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ ₹48,58,320 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ખેરગામ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં સિનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને LCBના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.
હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રે એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસેના થાંભલા સાથે અથડાઈ હતી. જે બાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રોડ સાઈડમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે થાંભલો તૂટી પડ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી છે જેથી ઘાયલ થયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બોડેલી પોલીસે રૂ. 5.32 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:મોડાસર ચોકડી પાસેથી બોલેરો ગાડીમાંથી મુદ્દામાલ જપ્ત
બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસેથી રૂ. 5,32,800/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એક બોલેરો પિકઅપ ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. બોડેલી પોલીસને બાતમી મળી હતી કે, MP 46 ZH 1666 નંબરની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ચાલક ગાડી ભગાવીને આગળ જઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3120 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,32,800/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમરેલી જિલ્લાને સ્માર્ટ GIDC મળશે:સાવરકુંડલાના બોઘરિયાણીમાં 41 હેક્ટર પર પ્રોજેક્ટ વિકસાવાશે
રાજકોટમાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સાત જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. આ સ્માર્ટ GIDC દ્વારા સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. તે ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર નિર્માણ અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના લોકપ્રતિનિધિઓએ આ મંજૂરીને આવકારી છે, જેનાથી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી રીતેષ સોનીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાનો સંકલ્પ સાકાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી રોજગારીની તકો વધશે અને વિકાસને ગતિ મળશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટિસ
PIL Filed in Supreme Court to Introduce Creamy Layer in SC/ST Quota : સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રિમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. PILમાં શું છે માંગણી? અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી કરી છે. તેમનો તર્ક છે કે SC અને ST વર્ગમાં જે પરિવારની કોઈ એક વ્યક્તિને સરકારી અથવા બંધારણીય પદ મળે, તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.
સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'રન ફોર સ્વદેશી' અંતર્ગત સ્વદેશી દોડ સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. રાજકોટની શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા ઇનોવેશન ક્લબ અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. 'કેન ડુ એક્ટિવિટી' અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારણી સદસ્ય ડો. નિલેશ ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. દિલીપ વજાણી પણ હાજર રહ્યા હતા. સ્વદેશી સંકલ્પ દોડ એમ.પી. શાહ કોમર્સ કોલેજથી શરૂ થઈ એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા. ડો. નિલેશ ત્રિવેદીએ યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંઘર્ષમય જીવન જીવી પોતાના પંથને ઉજ્જવળ બનાવવા અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના કેળવવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર બની ભારતની આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલાંઓ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેનાથી વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા.
જામનગરના લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે પતંગ ઉડાવતી વખતે વીજ કરંટ લાગવાથી દસ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વીજ તારમાં ફસાઈ જતાં આ દુર્ઘટના બની હતી. સારવાર દરમિયાન બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાળકનું નામ રોહિત બારીયા (ઉંમર 10 વર્ષ) છે. તે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે મજૂરી કામ કરતા કમજીભાઈ અદુભાઈ બારીયા (ઉંમર 40)નો પુત્ર હતો. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત 1 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં રોહિત પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો. જમીન ભીની હતી અને તે ખુલ્લા પગે પતંગ ઉડાવી રહ્યો હતો. આ દરમિયાન તેનો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ ગયો હતો. પતંગ વીજ તારમાં ફસાતા રોહિતને એકાએક વીજ કરંટ લાગ્યો અને તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરી હતી. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એમ. થાનકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બાળકના મૃતદેહનો કબજો સંભાળીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હીનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. હીનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના નિવાસસ્થાને બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પતિ પણ નાયબ મામલતદારમળતી માહિતી મુજબ, હીનીષા પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ-પત્ની બંને એક જ વિભાગમાં જવાબદાર હોદ્દા પર હોવા છતાં, કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે. હીનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ તપાસ અને કાર્યવાહીઘટનાની જાણ થતા રાંદેર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. હીનીષા પટેલે અંગત કારણોસર કે કામના ભારણને લીધે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આગામી ફેબ્રુઆરીમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપનાં શાસકો દ્વારા આગામી 20 જાન્યુઆરીનાં દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. વર્તમાન શાસકોનાં આ સંભવત: છેલ્લા જનરલ બોર્ડમાં પણ પ્રથમ 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ત્યારબાદ વિપક્ષનાં નગરસેવક વશરામભાઈ સાગઠિયાનો પ્રશ્ન છે. જોકે બે મહિને 1 કલાક મળનારા જનરલ બોર્ડમાં માંડ બે-ત્રણ પ્રશ્નોની ચર્ચા કરાતી હોય છે. ત્યારે વિપક્ષનાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્નોની ચર્ચાઓ આગામી બોર્ડમાં થાય તેવી શક્યતા નથી. આ કારણે જ આગામી જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષની વચ્ચે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. આજરોજ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા જનરલ બોર્ડ માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ અમૃત યોજના અને સ્વર્ણિમ યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અને મળેલી ગ્રાન્ટ અને તે અંતર્ગત હાથ ધરવામાં આવેલ કામની વિગતો માંગી છે. જ્યારે બીજા ક્રમે ભાજપના જ રુચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઈટ અને વોર્ડ વાઇઝ નવા બનેલા રોડ-રસ્તાની વિગતો માંગી છે. ત્રીજા ક્રમેં પણ ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ટાઉન પ્લાનિંગ હસ્તકના ખુલ્લા પ્લોટની વોર્ડ વાઇઝ માહિતી ઉપરાંત વોર્ડ વાઇઝ આંગણવાડીઓ અને તેમાં અપાતા નાસ્તા જેવી વિગતો પૂછી છે. ચોથા ક્રમે ભાજપના નગરસેવક વિનુભાઈ સોરઠીયા દ્વારા આરોગ્ય વિભાગને છેલ્લા 2 વર્ષમાં મળેલી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ કઈ રીતે થયો છે તેની માહિતી માંગી છે. તેમજ ફાયર વિભાગ પાસે હાલમાં ક્યાં અને કેટલા વાહનો છે તેનો આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે તે પૂછ્યું છે. પાંચમા ક્રમે ભાજપના જ કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા દ્વારા મનપા હસ્તકની તમામ મિલ્કતો અને તેના ઉપયોગ અંગેની માહિતી ઉપરાંત મનપા હસ્તકની લાયબ્રેરી અને તેમાં નોંધાયેલા સભ્યોની વિગતો પૂછવામાં આવી છે. ભાજપનાં 5 કોર્પોરેટરોનાં આ 10 પ્રશ્નો બાદ વિપક્ષનાં નગરસેવક વશરામ સાગઠિયાએ ટીપી વિભાગની સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં 11-11-2025 સુધીમાં 49 બિલ્ડીંગની સ્થળ તપાસ કરીને માત્ર 8 બાંધકામોને જ ભોગવટા પ્રમાણપત્રો અપાયા છે. તેમાંથી કેટલા માટેના રૂપિયા ભરાયા ? અને નથી ભરાયા તેની સામે શુ પગલાં લેવાયા ? અથવા ન લીધા હોય તો શું પગલાં લેવા માંગો છો ? તેમજ 12-11-2025થી 12-01-2026 સુધીમાં ફ્લાવર બેડનાં કારણે કેટલી મિલ્કતઓને ભોગવટાની પરવાનગી આપવામાં આવી ? જેવા ઘગ્ઘગતા સવાલો ઉઠાવ્યા છે. જોકે વિપક્ષના આ પ્રશ્નની જનરલ બોર્ડમાં ચર્ચા થવાની શક્યતા નથી. આ ઉપરાંત 12માં ક્રમે વિપક્ષના કોર્પોરેટર કોમલબેન ભારાઈએ પણ કોર્પોરેશનની શાળા નંબર 99 છેલ્લા 2008થી ભાડાનાં મકાનમાં ચાલતી હોવા અંગે તેમજ ટીપી વિભાગે મારેલા સીલ જાતે ખોલીને બાંધકામ શરૂ કરે તેની સામે થતી કાર્યવાહીની વિગતો પૂછી છે. જ્યારે 14માં ક્રમે કોંગી નગરસેવક મકબુલ દાઉદાણીએ પણ મનપાનાં ઈજનેર ઉપર થયેલા હુમલા અંગે કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો માંગી છે. તેમજ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટેના જે પગલાં લેવામાં આવ્યા તેની વિગતો પૂછવામાં આવી છે. આગામી જનરલ બોર્ડમાં જુદી-જુદી 12 દરખાસ્તોનો નિર્ણય પણ લેવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે 200 કરોડ રૂપિયા લોન કે ઓવરડ્રાફ્ટ દ્વારા મેળવવા માટેની સ્ટેન્ડિંગમાં મંજુર થયેલી દરખાસ્ત, રેલવે જંકશન સામે દૂર કરવામાં આવેલ દુકાનમાલિકો માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા, વોર્ડ નંબર 12 ખાતેની મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનો હરરાજીથી આપવા, તેમજ સફાઈ કામદારોનાં વારસદારોને નોકરી આપવા સહિત અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થયેલી દરખાસ્તો ઉપરાંત જુદા જુદા નામકરણ સહિત દરખાસ્તો અંગે ફાઇનલ નિર્ણય આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવશે. નોંધનીય છે કે, આગામી જનરલ બોર્ડની બેઠક સંભવત: ચૂંટણી પૂર્વેની છેલ્લી મિટિંગ હોવા છતાં પ્રથમ 5 ક્રમમાં શાસક પક્ષનાં 10 પ્રશ્નો છે. આ કારણે છેક 11માં ક્રમમાં રહેલા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્ન અંગે ચર્ચા થવાની શક્યતા નથી. જેને લઈને પોતાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે તેઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવશે. તો નિયમોનું બહાનું ધરીને ભાજપ દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનું ટાળવામાં આવશે. જેને લઈને શાસક અને વિપક્ષનાં નગરસેવકો વચ્ચે ભારે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. ત્યારે આગામી જનરલ બોર્ડમાં ભારે ઘર્ષણ અને આક્ષેપ-પ્રતિ આક્ષેપો જોવા મળે તેવી શક્યતા છે.
પાણેથામાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્:ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરી DDOને આવેદન આપ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્ રાખવા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર આપ્યું છે. સરપંચ સહિતના ગ્રામજનોએ સ્મશાન-કબ્રસ્તાન તરફ જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. ગ્રામસભાએ ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય યથાવત્ રાખ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાથી ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયત મુજબ, પાણેથા ગામમાં કોઈ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી. અન્ય ગામો અને જિલ્લાની લીઝ ધરાવતા વાહનો આ ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500 થી વધુ ખેડૂતો અને ખેતમજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયતે નટ-બોલ્ટવાળા બેરીકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટતા કરી છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી. તે ખેડૂતોના ખેતી કામ, પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ- 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે. જાહેર હિત,ખેતી પાકના સંરક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અત્યંત આવશ્યક હોવાનું પંચાયતે જણાવ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોપી કરતા ઝડપાયેલા 378 વિદ્યાર્થીઓ માટે માલ પ્રેક્ટિસ એક્ઝામિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કમિટી સમક્ષ હાજર થયેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવાઓની કમિટીના સભ્યો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કમિટીએ આ સમગ્ર મામલે પોતાની કામગીરી પૂર્ણ કરી છે. હવે આ અંગેનો અહેવાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને થનારી સજા કે અન્ય શિક્ષાત્મક પગલાં અંગેનો આખરી નિર્ણય આગામી સમયમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે. આ કમિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપ ચૌધરી અને કોકિલાબેન પરમાર, ઈસી મેમ્બર જગદીશ પ્રજાપતિ (પ્રિન્સિપાલ) તેમજ પરીક્ષા નિયામક મિતુલ દેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુનાવણીની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી હતી.
થોર ટીમે SSRPL વિન્ટર ટુર્નામેન્ટ જીતી:સ્પાઈડરમેનને હરાવી ટ્રોફી પર કબજો કર્યો
SSRPL વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ની ફાઇનલ મેચ આજે રમાઈ હતી, જેમાં થોર ટીમે વિજય મેળવી ટ્રોફી જીતી લીધી હતી. આ અંતિમ મુકાબલો થોર અને સ્પાઈડરમેન ટીમો વચ્ચે સાઉથ બોપલ સ્થિત સન સાઉથ રેયઝ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. 12 ઓવરની આ રોમાંચક મેચમાં બંને ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. આખરે, થોર ટીમે સ્પાઈડરમેન ટીમને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.
મોડાસા BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય:અરવલ્લીમાં 138 બાળકોને શિક્ષણ માટે આધાર મળ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ કેમ્પમાં મોડાસા અને માલપુર તાલુકાના કુલ 138 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું. વિતરિત કરાયેલા સાધનોમાં સીપી ચેર, વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, હિયરિંગ એડ અને રોલર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મોડાસા અને માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીવદયાપ્રેમી અને સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી, BRC કોઓર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ, જિલ્લા ID કોઓર્ડિનેટર અમિતભાઈ કવિ સહિત સમગ્ર શિક્ષા વિભાગના અધિકારીઓ અને સ્પેશિયલ એજ્યુકેટર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય પૂરી પાડીને તેમને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. આયોજકોનો હેતુ દિવ્યાંગ બાળકો ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરીને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ આત્મનિર્ભર અને સશક્ત બને તે સુનિશ્ચિત કરવાનો છે. આ સાધન સહાય વિતરણ કેમ્પ દિવ્યાંગ બાળકોના જીવનમાં કોઈ અછત ન રહે અને તેઓ સમાજમાં પુનર્વસિત થઈને શ્રેષ્ઠ નાગરિક તરીકે પોતાની ઓળખ બનાવે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા મળતી વિવિધ સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ધ બ્રાઇટ સ્કૂલ (વાસણા – GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત ચાર હાઉસ – અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી – દ્વારા ભવ્ય પરેડથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓની એકતા અને શાળા પ્રત્યેનું ગૌરવ જોવા મળ્યું. રમતોત્સવની જ્યોત પ્રગટાવવાની વિધિ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતી. ત્યારબાદ, રમત માટેની શપથવિધિ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ રમતોત્સવના નિયમો અને રમતભાવનાનું પાલન કરવાનો સંકલ્પ લીધો. શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ દ્વારા રમતોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો, જેના પછી વિવિધ રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ થયો. આ કાર્યક્રમમાં ફ્રી હેન્ડ ડ્રિલ, ડમ્બેલ્સ અને લેઝિયમ વ્યાયામ, યોગ પ્રદર્શન તેમજ ઝુંબા નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. યોગ રચનામાં વિદ્યાર્થીઓએ '૨૫' આકાર બનાવી શાળાની રજત જયંતિની ઉજવણી કરી. આ પ્રસ્તુતિઓએ વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને તાલીમનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ, દોડ સ્પર્ધા, રિલે રેસ, હર્ડલ રેસ અને બાસ્કેટબોલ ડ્રિબ્લિંગ રેસ જેવી મેદાની સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતકુશળતા દર્શાવી. સ્પર્ધાના વિજેતાઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને પ્રિન્સિપાલ દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી, જેમાં શાળા વ્યવસ્થાપન, શિક્ષકો, રમત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકાર તથા મહેનત બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. આ સહકારને કારણે રમતોત્સવ સફળ અને યાદગાર બન્યો.
સમગ્ર વિશ્વ અને દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને સામાજિક સમસ્યાઓ ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતાં. જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓએ મુશ્કેલીના સમયે આ હેલ્પલાઈનનો ભરોસો કર્યો છે. સૌથી વધુ ઘરેલુ હિંસા અને જાતીય સતામણીના કેસોમહેસાણા જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ તરફથી મદદ માટે કુલ 4558 કોલ્સ મળ્યા હતા. અભયમની ટીમે તમામ કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપી પોતાની ફરજ નિભાવી હતી. આ કોલ્સમાં સૌથી વધુ ચોંકાવનારો આંકડો ઘરેલુ હિંસાનો છે, જેમાં 2,387 મહિલાઓ ઘરકંકાસ કે હિંસાનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 574 મહિલાઓએ જાતીય સતામણી અંગે પોતાની ફરિયાદ નોંધાવી મદદ માંગી હતી. પીડિત મહિલાઓની વહારે 181 અભયમ ટીમ આવી181 અભયમની ટીમ દિવસ હોય કે રાત, 24 કલાક સતત ખડેપગે રહીને પીડિત મહિલાઓ સુધી પહોંચી છે. માત્ર ઘટનાસ્થળે પહોંચવું જ નહીં, પરંતુ મહિલાઓની માનસિક સ્થિતિ સમજીને અસરકારક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ટીમે સામાજિક સ્તરે પ્રશ્નો ઉકેલવા માટે સામેવાળા પક્ષનું પણ કાઉન્સેલિંગ કરી સમાધાનકારી માર્ગ અપનાવ્યો હતો. મહેસાણામાં 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુઆ એક વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા 181ની ટીમ દ્વારા 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તે પૈકી 481 મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે 290 મહિલાઓને વધુ સહાય કે કાયદાકીય મદદની જરૂર જણાતા અન્ય બચાવ એજન્સીઓ તરફ રીફર કરવામાં આવી હતી. આમ, મહેસાણા જિલ્લામાં મહિલા સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઈન એક મજબૂત કવચ તરીકે ઉભરી આવી છે.
અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલના બાળકોને ફ્લાવર શોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ શૈક્ષણિક પ્રવાસનો હેતુ બાળકોને પ્રકૃતિ અને વિવિધ ફૂલો વિશે માહિતગાર કરવાનો હતો. મુલાકાત દરમિયાન, બાળકોએ રંગબેરંગી ફૂલો જોયા અને ખૂબ ખુશ થયા. શિક્ષકોએ તેમને ફૂલોના નામ, રંગ અને ઉપયોગ વિશે સરળતાથી સમજાવ્યું. આ પ્રવાસ બાળકો માટે આનંદ સાથે શીખવાનો એક સુંદર અનુભવ બન્યો. શાળાની ટીમે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે રસ અને જાગૃતિ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા તેના 209મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારો અને તેમના બાળકોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, મીરા ટૉકીઝ પાસે, ભૈરવનાથ રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશનના સભ્યો જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્વપ્નિલ, બાબુલકાકા, માર્કણ્ડભાઈ, વસંતભાઈ, જ્યોત્સ્નાબેન અને વિજય દલાલે ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આંગણવાડી કેન્દ્રની કાર્યકર્તા બહેનોએ પણ કાર્યક્રમની વ્યવસ્થામાં સુંદર સહયોગ આપ્યો હતો.
મોરબીના જાંબુડિયા ગામે એક પરિણીતા અને તેના સાસુ પર હુમલો કરી, પતિને જાતિગત અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરા (ઉં.વ. 24) એ તે જ ગામના વિજય બાબુભાઈ વિંજવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી વિજયનો ભાઈ પ્રકાશ ફરિયાદીના પતિ કમલેશ સાથે ફરતો હતો. પ્રકાશ પોતાના ઘરમાં ઝઘડા કરતો હોવાથી વિજયને શંકા હતી કે કમલેશ તેને ચડામણી કરે છે. આ વહેમના આધારે આરોપી વિજય ફરિયાદીના ઘર પાસે શેરીમાં આવ્યા હતા. ત્યાં તેમણે જ્યોતિબેન અને તેમના સાસુ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં, તેમણે બંનેને લાફા મારી મારપીટ પણ કરી હતી. આ દરમિયાન ફરિયાદીના પતિ કમલેશ ઘરમાંથી બહાર આવતા, આરોપી વિજયે તેમને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમણે કમલેશને 'મારા ભાઈ ભેગા ફરવું નહીં, નહીં તો તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ' તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનેલા જ્યોતિબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલ (ઉસ્માનપુરા) ના ૧૯૮૪ SSC અને ૧૯૮૬ HSC બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું વાર્ષિક સ્નેહમિલન ગત રવિવાર, ૪ જાન્યુઆરીના રોજ SG હાઈવે પર આવેલા મિકેશ સુરતીના ફાર્મહાઉસ ખાતે યોજાયું હતું. આ પરંપરા મુજબ દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સ્નેહમિલનમાં શાળાના હાજરીપત્રકની જેમ જ અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું હાજરીપત્રક રાખવામાં આવ્યું હતું. કીર્તિદાબા રાણા દ્વારા એક પણ સ્નેહમિલન ન ચૂકાવનાર સભ્યોને વ્યક્તિગત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દરેક ટ્રોફી પર સભ્યોની લાક્ષણિકતા અનુસાર ઉખાણું લખેલું હતું, જેના આધારે સભ્યોએ પોતાની ઓળખ આપવાની હતી. આ ઉપરાંત, હાજરીની તર્જ પર અમુક સભ્યોને સુવર્ણ, રજત અને કાંસ્ય પદક પણ એનાયત થયા હતા. ગોધરા નિવાસી ડૉ. મનીષા મહેતાએ ગીત અને વસ્તુની જુગલબંધી પર આધારિત રમત રમાડી હતી, જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગીત ખુરશીની રમતમાં પણ બધાએ ઉન્મુક્ત આનંદ માણ્યો હતો. મુંબઈ નિવાસી નિર્મળ શાહે સંગીતના ઉપકરણોનો મોરચો સંભાળી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ડૉ. મનીષ રાવલ, જેમના નિવાસસ્થાને એક અંગત સંગ્રહસ્થાન છે, તેમણે દરેકને પૌરાણિક સિક્કાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. સંદીપ શાહ તરફથી દરેકને હેલ્ધી ફૂડ હેમ્પર આપવામાં આવ્યું હતું. સુરતી સભ્ય ડૉ. કિંજલ પટેલ ખાસ પોંક અને ઘારી લઈને આવ્યા હતા, જ્યારે અમેરિકાથી આવેલા દેવ શાહને બધાએ ઉમળકાભેર આવકાર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપ એડમિન ભવ્યા શાહ, કર્ણિક શાહ અને ખજાનચી મેહુલ શાહની પડદા પાછળની મહેનતને સૌ કોઈએ બિરદાવી હતી. અંતે, સૌએ ભોજન લીધું અને ફરીથી મળવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.
શાકોત્સવનું આયોજન:મહેસાણા SMVS સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આયોજન કરાયું
મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરમાં 11 જાન્યુઆરી, 2026 રવિવારના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મહેસાણા જિલ્લાના હજારોથી વધુ સત્સંગી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ ધામથી વડીલ સંતવર્ય પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ આપ્યો હતો. પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ શાકોત્સવના મહત્વ વિશે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ શાક-રોટલાની દિવ્ય પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
વિસનગરમાં ભારત વિકાસ પરિષદની મહિલા પાંખ દ્વારા સભ્યો માટે મૈત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. શહેરના કડા રોડ પર આવેલા સેવન સ્ટાર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં લગભગ ત્રીસ જેટલા સભ્યોએ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષની અલગ અલગ ટીમો બનાવીને ક્રિકેટનો આનંદ માણવામાં આવ્યો હતો. સભ્યો વચ્ચે સંગઠન અને સહકારની ભાવના કેળવાય તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મૈત્રી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, સામાજિક કાર્યકર ભાનુપ્રસાદ શાસ્ત્રી અને મેલાજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરિષદના સભ્ય અમિતભાઈ સુખડીયા દ્વારા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રમુખ ડૉ. જયેશકુમાર શુક્લ, મંત્રી હર્ષદભાઈ પટેલ, મહિલા સંયોજિકા હેમાબેન સોની, સહ-સંયોજિકા રશ્મિબેન ગુપ્તા અને વૈશાલીબેન કોઠારી સહિત ભારત વિકાસ પરિષદના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મુંબઈ ખાતે જાપાન કરાટે એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સિનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં વડોદરાના કરાટે ઇન્સ્ટ્રક્ટર સેન્સાઇ વિશાલ નિઝામા અને તેમના વિદ્યાર્થીઓએ કુલ ૫ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સેન્સાઇ વિશાલ નિઝામાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના વિદ્યાર્થીઓમાંથી શાલીન શુક્લાએ એક સિલ્વર મેડલ, સુહાન ઝાલાએ એક ગોલ્ડ મેડલ અને કનુ ચૌધરીએ એક ગોલ્ડ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આસામ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
કુતિયાણા 108 એમ્બ્યુલન્સે એક રાતમાં બે પ્રસુતિ કરાવી:માતા અને જોડિયા બાળકો સહિત 5 જીવ બચાવ્યા
કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં રહેતા જોશનાબેનને પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના EMT ડો. કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશભાઈ બેસ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. સ્થળ પર સગર્ભાની સ્થિતિ ગંભીર જણાતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ. જોડિયા બાળકો હોવા અને એક બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં, 108 ટીમે કુદરતી રીતે પ્રસુતિ કરાવી માતા અને બે બાળકો સહિત કુલ ત્રણ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને પોરબંદરની લેડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીના સગા-સંબંધીઓએ 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તે જ રાત્રે, કુતિયાણાના ખાગેશ્રી ગામમાં મજૂરી કરતા ભુરી કિકરીયાને પણ પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. EMT કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશ બેસ ફરીથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દર્દીને લઈને CHC કુતિયાણા સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા, પરંતુ મેવાસા નજીક પહોંચતા સગર્ભાની સ્થિતિ ગંભીર બનતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડી હતી. EMT કેવિનગીરી અપારનાથીએ પાયલોટ રાજેશને એમ્બ્યુલન્સ સાઈડમાં પાર્ક કરવા જણાવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો અને કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને બાળક સહિત બે માનવ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને CHC સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કુતિયાણા 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર આકાશ અને પોરબંદર જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગિરી મેઘનાથી દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા.
શાંતિ જુનિયર સ્કૂલ, ચાંદખેડા ખાતે તાજેતરમાં સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાળાના નાના બાળકો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને રમતાં રમતાં શીખવાની અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં બાળકોને મંડોળા યોગા (Mandola Yoga) કરાવવામાં આવ્યું હતું. મંડોળા યોગા બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. આ યોગ દ્વારા બાળકોની એકાગ્રતા વધે છે, મન શાંત રહે છે અને શરીર મજબૂત બને છે. બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે યોગ અને રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા બાળકોને સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત કસરતના મહત્વ વિશે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકો અને વાલીઓને એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમાં જણાવાયું કે જીવનમાં હાર કે જીત પોતે મહત્વની નથી, પરંતુ પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી સકારાત્મક રહેવું સૌથી વધુ મહત્વનું છે. વાલીઓને સમજાવવામાં આવ્યું કે બાળકોને ક્યારેય “તું કેમ જીત્યો નહીં?” એવું કહેવાને બદલે “તું કરી શકે છે” અથવા “આગળ વધુ સારી રીતે પ્રયત્ન કરજે” જેવા પ્રોત્સાહક શબ્દો કહેવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ નિર્ભય બની આગળ વધે છે. આ સાથે બાળકોને યોગાના મહત્વ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા. યોગા બાળકોના માનસિક શાંતિ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં સકારાત્મક વિચારધારા વિકસે છે અને તેઓ જીવનની દરેક પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરવાની શક્તિ મેળવે છે. શાંતિ જુનિયર સ્કૂલ હંમેશાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા સકારાત્મક અને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.
ઉદય ફાઉન્ડેશન દ્વારા ગતરાડમાં ગૌ સેવા:વીસ વીઘા ગૌશાળામાં ગૌ પૂજાનું આયોજન કરાયું
ઉદય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ગતરાડ ગામમાં આવેલી વીસ વીઘા ગૌશાળા ખાતે ગૌ સેવા અને ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા ગાયોની પૂજા કરવામાં આવી હતી. ગૌશાળામાં નિવાસ કરતા પૂજ્ય બાપુએ મંત્રોચ્ચાર સાથે ગૌ પૂજા સંપન્ન કરાવી હતી. ટીમના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગૌ સેવામાં ભાગ લીધો હતો.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભવ્ય શિવ બારાત અને રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ મહાશિવરાત્રીના દિવસે યોજાશે. પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. શિવ બારાતમાં ભગવાન ભોળાનાથની મૂર્તિ સાથે વિવિધ દરબારો, ભૂત અને બેતાલની વેશભૂષામાં મંડળો, ગરબા ગ્રુપ, રાજ્યોની વેશભૂષા, બેન્ડબાજા, ડીજે લાઇટ અને વિવિધ સરકારી યોજનાઓના ટેબલો તેમજ વટવાની વિકાસ ગાથાના ટેબલોને સ્થાન અપાશે. આ શિવ બારાતમાં મોટી સંખ્યામાં કળશ યાત્રીઓ અને ૧૦૧ કાંવડ યાત્રીઓ જોડાશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા શિવ બારાતમાં જોડાનાર તમામ ભક્તોને મંત્રોથી અભિમંત્રિત કરેલા રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ માળા નિઃશુલ્ક આપવામાં આવશે. શિવરાત્રીના એક દિવસ પહેલા રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. શિવ બારાતના મુખ્ય યજમાન તરીકે શ્રી મહેશસિંહ કુશવાહ અને શ્રી શ્યામસિંહ ઠાકુર રહેશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહે જણાવ્યું કે, શિવ બારાતના આયોજન માટે કારોબારી બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લેશે, અને તેમના માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મુખ્ય આરોપીને જામનગર જિલ્લાના બજરંગપુર ગામેથી પકડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રાજપરા ગામના કરણ સિંહોરા દ્વારા એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર જામનગર જિલ્લાના બજરંગપુર ગામે છુપાયેલા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સગીરાને મુક્ત કરાવી હતી પોલીસે આરોપીને મદદ કરનાર સંદીપ લુદરિયા અને લખમણ સિંહોરાની પણ પોલીસે ધરપકડ કરી છે. સંદીપે અપહરણમાં મદદ કરી હતી. જ્યારે લખમણ સિંહોરાએ અલગ-અલગ જગ્યાએ આશરો આપ્યો હતો. રાણાવાવ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
શિક્ષાપત્રી મંથન:સંતોનાને કુસંગથી બચાવવા માતાપિતાએ સમય કાઢી સંસ્કાર આપવા જરૂરી
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે માનવશરીર એ દુનિયાની સૌથી અદ્ભૂત રચના છે. જીવન કેવી રીતે જીવવું તેની સાચી કળા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં શીખવી છે. આજના બાળકો અને યુવાનો ઘણીવાર કુસંગના કારણે વ્યસનો તરફ વળી જાય છે. આથી દરેક માતાપિતાની ફરજ છે કે તેઓ સમય કાઢીને સંતાનોને સંસ્કાર આપે. ઘણા માતાપિતા બાળકોને સાચવવા માટે સમયના અભાવે અને પૈસાની ઉપલબ્ધતાને કારણે નોકરને ઘરમાં રાખી દે છે. નોકર બાળકોને ખાવા-પીવા આપશે અને રમાડશે, પરંતુ તે સારા સંસ્કાર આપી શકશે નહીં. સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રશ્ન કર્યો કે શું માતાપિતા પોતાના ઘરના કબાટમાં રાખેલા દાગીના અને પૈસાની ચાવી નોકરને સોંપે છે? જો સંપત્તિ નોકરને સોંપવાની તૈયારી નથી, તો ભવિષ્ય અને વારસો સમાન સંતાનોને નોકરના હવાલે શા માટે કરી દેવામાં આવે છે તે વિચારવું જોઈએ. બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા માટે સમય કાઢીને મહેનત કરવી અનિવાર્ય છે. જો આ મહેનત કરવામાં નહીં આવે તો બાળકોને શું કરવું અને શું ન કરવું તે અંગેનો વિવેક શીખવી શકાશે નહીં. આ વિવેક માતાપિતાએ જ શીખવવો પડશે, અને જે માતાપિતા આ વિવેક શીખવશે તેમના સંતાનો સારા પાકશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી એ સારા સંસ્કાર કેવી રીતે શીખવવા તે માટે માર્ગદર્શન આપતો ગ્રંથ છે. આ ગ્રંથનું વાંચન અને મનન કરીને સંતાનોને સંસ્કાર આપવા જોઈએ.
ભાવનગર ખાતે બૌદ્ધ સમાજના આગેવાનો અને અનુયાયીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ ચાર મુખ્ય મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેકટરને આપી રજુઆત કરવામાં આવી હતી. જો આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 'બુદ્ધ પૂર્ણિમા'ની ધાર્મિક રજા જાહેર કરવા માગબૌદ્ધ સમાજના આગેવાનો દ્વારા આપેલ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં તમામ ધર્મોના તહેવારો પર સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે 'બુદ્ધ પૂર્ણિમા'ની ધાર્મિક રજા જાહેર કરવામાં આવતી નથી. આ ભેદભાવ દૂર કરી તુરંત રજા જાહેર કરવાની માંગ કરી છે. બોધિગયાને કબજો મૂળ વારસદારો એટલે કે બૌદ્ધોને સોંપવા માંગભગવાન બુદ્ધને જ્યાં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે પવિત્ર સ્થળો (બોધિગયા) પર ગેર-બૌદ્ધો દ્વારા પિંડદાન જેવી પ્રવૃત્તિઓ કરી ધમ્મની પવિત્રતા બગાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ સ્થળોનો કબજો મૂળ વારસદારો એટલે કે બૌદ્ધોને સોંપવાની માંગ કરવામાં આવી છે. હિમાલચ ઘટનાને લઈને રોષતેમજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં અભ્યાસ કરતી પલ્લવી નામની SC દીકરી પર કોલેજના પ્રોફેસરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેનું મૃત્યુ થયું છે, આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા રોષ વ્યક્ત કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકીઆવેદનપત્ર આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે, જો અમારી વાજબી માંગણીઓ જલ્દી સંતોષવામાં નહીં આવે, તો ભારતના તમામ મૂળ નિવાસીઓ ભેગા થઈને મોટું આંદોલન કરશે, દેશભરમાં શાસન અને પ્રશાસન વિરુદ્ધ ઘેરાવો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે(NH) પર રવિવારે(11 જાન્યુઆરી) સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્વિસ રોડ પર સર્જાયો છે જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. બાઈક પર સવાર બે લોકો આ માર્ગ પર ફંગોળાયા હતાં. જેમાં એકનું ગંભીર ઇજાઓને લઈ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સર્વિસ રોડ પર બાઈક પર નીકળ્યાને અકસ્માતમળતી માહિતી મુજબ, રવિવારે(11 જાન્યુઆરી) મોડી સાંજે તરસાલી નેશનલ હાઇવે 48 પાસે સર્વિસ રોડ પર બે યુવકો પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નેશનલ હાઇવે પરથી સર્વિસ રોડ પર આવી રહ્યા હતા તે દરમ્યાન બાઈક સ્લીપ થવાથી કે અન્ય કોઈ વાહનની ટક્કરથી બાઈક સ્લીપ થઈ જતા બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને પગલે સર્વિસ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ અકસ્માતમાં ઘનશ્યામનગર મકરપુરામાં રહેતા શ્યામ કુશેશ્વર યાદવ (ઉં.વ. 55)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઈ વખતસિંહ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકનું મોત, એક ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયોઆ ગમખ્વાર અકસ્માતમાં શ્યામ યાદવનું ગંભીર ઇજાઓને લઈ સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશ ઠાકોરને તાત્કાલિક 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.
સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટેના કડક કાયદા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચને પકડી પાડવામાં જૂનાગઢ એસ.ઓ.જી ને મોટી સફળતા મળી છે. આરોપીના જામીન રદ થતા કોર્ટે તેની સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોચ રાખી રહી હતી. ખાસ કરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સો પોલીસ પકડથી દૂર ન રહે તે માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા SOG ના હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, રોહીતભાઇ ધાધલ અને વિશાલભાઇ ઓડેદરાને બાતમી મળી હતી કે વિસાવદરના હનુમાનપરા વિસ્તારમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ વિસાવદર ખાતે હાજર છે. આ શખ્સ વિરુદ્ધ વિસાવદર પોલીસ મથકે ગુજસીટોક એક્ટની કલમ-3(1)(2), 3(2), 3(4) હેઠળ ગુનો નોંધાયેલો હતો (GCTOC/4/2022). મુખ્ય જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ છેલ્લા આઠ મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જોકે, SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ખાતેથી તેને હસ્તગત કર્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. કરશનભાઇ મોઢા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, કોન્સ્ટેબલ રોહીતભાઈ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ દિવરાણીયા જોડાયેલા હતા.
સુરતની ખાણીપીણીની દુનિયામાં અત્યારે ફફડાટ ફેલાયો છે. જે પાણીપુરીના ચટાકા લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે, એ જ લારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. કડવી વાસ્તવિકતા એ છે કે, જે પુરીઓ ગ્રાહકોના મોઢામાં જવાની હતી, તેને અધિકારીઓએ કચરા ગાડીમાં અને ગટરમાં ફેંકીને નાશ કરવો પડ્યો હતો. આ દૃશ્યો જોઈને કોઈ પણ ખાણીપીણીના શોખીનનું મન ખાટું થઈ જાય તેમ છે. 1200 લારીઓ પર મનપાની કાર્યવાહીછેલ્લા 5 દિવસથી સુરતના રસ્તાઓ પર કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. મનપાની આરોગ્ય ટીમોએ વહેલી સવારથી જ 'પાણીપુરી સ્પેશિયલ ડ્રાઈવ' શરૂ કરી છે. અલથાણ, ભટાર, પાંડેસરા અને અડાજણ જેવા ધમધમતા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને કુલ 1220 જેટલી સંસ્થાઓ અને લારીઓનું રાતોરાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જાણે ખાણીપીણીના માફિયાઓ સામે પાલિકાની સર્જિકલ સ્ટ્રાઈક હોય તેવું જણાઈ રહ્યું છે. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ માત્ર ઉપરછલ્લી તપાસ નથી કરી, પરંતુ જ્યાં પાણીપુરીનું ઉત્પાદન થાય છે તેવા ગોદામો પણ ફંફોળ્યાં હતા. આ સુરતીઓના સ્વાસ્થ્ય માટે ટાઈમ બોમ્બ સમાનઃ ફૂડ સેફ્ટી ઓફિસરઆરોગ્ય અધિકારી ડો. કેતન ગરાસિયાએ જણાવ્યું કે, 5 દિવસની કાર્યવાહીમાં પાલિકાએ સાબિત કરી દીધું કે લોકોના જીવ સાથે ચેડાં કરનારને છોડવામાં આવશે નહીં. અમે માત્ર લારીઓ પર જ નહીં, પણ જ્યાં પાણીપુરીનું બલ્ક પ્રોડક્શન થાય છે તેવા કેન્દ્રો પર ત્રાટક્યા છીએ. તપાસ દરમિયાન જે રીતે સડેલા બટાકા અને અત્યંત ગંદા વાતાવરણમાં મસાલો બનતો જોવા મળ્યો, તે ખરેખર ચિંતાજનક છે. અમે 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને 2.60 લાખનો દંડ ફટકાર્યો છે. જે સંસ્થાઓ નોટિસ પછી પણ સુધરી નથી, તેવી 10 દુકાનોને અમે સીલ કરી દીધી છે. લોકોના જીવ જોખમમાં મૂકનાર કોઈ પણ વેપારીને છોડવામાં આવશે નહીં. 2.60 લાખનો દંડ અને 10 દુકાનોને કાયમી તાળાઆ કોઈ સામાન્ય ડ્રાઈવ નહોતી, કારણ કે આંકડા ચોંકાવનારા છે. તપાસ દરમિયાન આશરે 1400 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો પકડાયો હતો, જેને તંત્રએ 'ઝેર' ગણીને નષ્ટ કર્યો છે. માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, આરોગ્ય વિભાગે 73 જેટલી સંસ્થાઓને કડક નોટિસ ફટકારી છે અને જેઓ સુધરવા તૈયાર નહોતા તેવી 10 જાણીતી ખાણીપીણીની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશેઆ કાર્યવાહીમાં તંત્રએ વેપારીઓના ગજવા પણ ગરમ કર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,60,000 રૂપિયાથી વધુનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. જે રીતે સુરતમાં રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે, તેને જોતા આ કડક હાથે લેવાયેલા પગલાં ખૂબ જ જરૂરી બન્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી બાદ પણ પાણીપુરીના વેપારીઓ સ્વચ્છતા જાળવે છે કે કેમ.
અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે એક અનોખા સંગમનો સાક્ષી બન્યો છે. આસમાનમાં રંગબેરંગી પતંગોની જમાવટ છે અને જમીન પર ભારતની સંસ્કૃતિનો શણગાર. 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું ભવ્ય સ્વાગત કરાયું. આ વખતે લોકોની નજર માત્ર પતંગો પર જ નહીં, પણ PM મોદીના લુક પર અટકી. આંખો પર બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને ગળામાં ગુજરાતની વિરાસત સમાન 'પટોળા'નો શાહી સ્ટોલ પહેરીને PM મોદીએ એન્ટ્રી લીધી, આ અલગ અંદાજ સૌ કોઈના મનમોહ્યા હતા. ઉત્સવમાં 'સોનામાં સુગંધ ભળે' તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે PM મોદીએ પોતે પતંગની દોર હાથમાં લીધી. 'I Love Modi' અને 'India' લખેલી પતંગો સાથે તેમણે પતંગબાજોના મન મોહી લીધા. ખાસ કરીને, જ્યારે તેમણે તિરંગાના રંગની પતંગ ચગાવી અને ઢીલ છોડી. આ પહેલાં બંને નેતાઓએ કાઈટ ફેસ્ટિવલનું એક્ઝિબિશન નિહાળ્યું હતું. આ દરમિયાન PM મોદી અને ફ્રેડરિક મર્ઝ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ એક ઓટલા પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા. ઉપરના વીડિયોમાં જુઓ આ હટકે અંદાજ...
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે અલગ-અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ અજગરો પૈકી એક આશરે 10 ફૂટ લાંબો અને બીજો 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઈ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને બાદમાં તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઈ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. તેમણે અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ સાપ અને અજગરોને પકડીને જંગલમાં છોડી ચૂક્યા છે. તેમની આ નિઃસ્વાર્થ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
આઇસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા જામપુર પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃત કરવાનો હતો. ઉત્સવ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયર્નની ગોળીનું મહત્વ, પૂર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અંગત સ્વચ્છતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) વિષયક જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. કિશોરીઓએ પૂર્ણા યોજના અંતર્ગત પતંગનું સુશોભન કર્યું હતું. તેમની BMI, વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન (HB) સ્તરની પણ તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ઉત્તમ હિમોગ્લોબિન સ્તર ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઇસીડીએસના સુપરવાઇઝરઓ, પીએસઇ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઇઝર, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 જેટલા અંગોના દાન કરાવ્યા છે. ઉપરાંત, 4 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન-નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પતંગો પર રક્તદાન, નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડો. જીગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી,સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ પણ હાજર રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી,પ્રમુખ અશોક જાદવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.
વલસાડ રેલવે સ્ટેશન નજીક 108 એમ્બ્યુલન્સમાં એક મહિલાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. નિઝામુદ્દીનથી બોરીવલ્લી જઈ રહેલી 39 વર્ષીય મહિલાને 11 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 7:15 વાગ્યે પ્રસુતિ પીડા શરૂ થઈ હતી. પરિવારે તાત્કાલિક 108 ટીમની મદદ માંગી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. 108ની ટીમે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ઝોલી સ્ટ્રેચરની મદદથી સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. એમ્બ્યુલન્સમાં બેસાડ્યા બાદ મહિલાની પ્રસુતિ પીડા વધુ તીવ્ર બની હતી. આથી, રેલવે ગોદી પાસે રોડની બાજુમાં એમ્બ્યુલન્સ રોકીને તેમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો. અગાઉ તેમને હોસ્પિટલમાંથી નોર્મલ ડિલિવરી શક્ય ન હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેવું જણાવાયું હતું. વલસાડ 108ના EMT ચંદ્રાવતી પટેલ અને પાયલોટ બિપિન પટેલે પરિસ્થિતિ સંભાળી. EMTએ તપાસ કરતા જાણ્યું કે બાળકને સ્ટૂલ પાસ થઈ ગયું હતું અને ગળા પર નાળ વીંટળાયેલી હતી. તાત્કાલિક નાળ સરકાવીને બાળકનું માથું બહાર આવતા બાળકનો જીવ બચી ગયો. સફળ નોર્મલ ડિલિવરી બાદ ડોક્ટર કૃષ્ણાના નિર્દેશ મુજબ જરૂરી ઇન્જેક્શન, બોટલો અને ઓક્સિજન આપવામાં આવ્યા. બાળકને બેબી વોર્મ કરીને મધર્સ કેર આપવામાં આવી અને માતાની પ્લેસેન્ટા ડિલિવરી કરાવવામાં આવી. વધુ સારવાર માટે માતા અને બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં ફ્લેટમાં તોડફોડ, પ્લોટના દસ્તાવેજ ચોરાયા:રિસામણે બેઠેલી પત્ની, સાળી-સાઢુ સામે ફરિયાદ
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલમહંમદી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય યુવાનના બંધ ફ્લેટમાં તોડફોડ અને કિંમતી પ્લોટના દસ્તાવેજોની ચોરી થઈ છે. આ મામલે યુવાને તેની રિસામણે બેઠેલી પત્ની, સાળી અને સાઢુભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની છેલ્લા છ મહિનાથી રિસામણે પોતાના માવતરે રહે છે. જે તેની બહેન અને બનેવી સાથે યુવકના બંધ ફ્લેટમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, બારીના કાચ અને રસોડાના પ્લેટફોર્મ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, પેટી પલંગમાં રાખેલા પડાણા ગામ પાસેના કિંમતી પ્લોટના દસ્તાવેજોની મૂળ અને નકલ બંને ફાઈલોની ચોરી કરી હતી. ફરિયાદી યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી ફ્લેટને તાળું મારીને ગયો હતો. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા, પત્ની, સાળી અને સાઢુભાઈ દિવસ દરમિયાન એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને દસ્તાવેજોની ફાઈલ સાથે બહાર નીકળતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ. વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહેતાપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હિંમતનગરના મહેતાપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ અને પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ રીતે ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનો પોશાક ધારણ કરીને હાથમાં ગીતા પકડી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની તસવીર સાથે વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.
420 સાયકલિસ્ટોએ 73 કિમીની સફર ખેડી ઈતિહાસ રચ્યો ગિરનારની પ્રાકૃતિક સુંદરતા, આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમ સમાન ‘રાજ્યકક્ષાની ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા’ માં આ વર્ષે ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 420 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈને એક નવો ઈતિહાસ રચ્યો છે જેમાં ભાવનગરના 2 મહિલા સહિત 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, આ સાયકલ યાત્રાનું આયોજન અમદાવાદના ‘ગ્રીન રાઈડર્સ સાયકલિંગ ગ્રુપ’ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ફિટ ઈન્ડિયા ભાવનગર સાયકલ ક્લબ અને રાજ્યના અન્ય 11 સાયકલિંગ ક્લબોએ સહકાર આપ્યો હતો. જેમાં સવારે સરદાર પટેલ દરવાજા જૂનાગઢ થી શરૂ થઈ પૂર્ણ વિવેકાનંદ સ્કૂલ જેનું કુલ 73 કિલોમીટર થાય છે, ભાવનગર સાયકલ ક્લબના ઉત્સાહમાં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળ્યો છે ગયા વર્ષે માત્ર 9 સભ્યો જોડાયા હતા, જેની સામે આ વર્ષે 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં 3 મહિલા સાયકલિસ્ટોનો પણ સમાવેશ થાય છે આ તમામ સભ્યોએ 73 કિમીની કપરી ગણાતી રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર અને યુનિવર્સિટી કેમ્પસ ઓફિસર કલ્પેશસિંહ ઝાલાએ આ સફળતા બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક ઈવેન્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, યાત્રા પૂર્ણ કરનાર ભાવનગરના તમામ સાયકલિસ્ટોને ક્લબ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, યાત્રાના આગલા દિવસે સાયકલિસ્ટોએ જૂનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, આ આયોજન દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. પરમાર અને તેમની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. વહેલી સવારે આશરે ૧:૩૦ વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફથી આવી રહેલી લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-૮ ગાડીને પોલીસે અટકાવી હતી. ગાડીની તપાસ કરતા તેની પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબભાઈ શેખ (ઉંમર ૨૨, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દેવગઢ બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોહીલ શેખ પાસેથી બંદૂક રાખવા અંગેના લાયસન્સ કે પાસ-પરવાનાની માંગણી કરતા, તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી. કદવાલ પોલીસે આરોપી સોહીલ શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹૧૦,૦૦૦/- ની એક નાળીવાળી બારબોર બંદૂક અને ₹૧,૫૦,૦૦૦/- ની મહિન્દ્રા કોન્ટો સી ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹૧,૬૦,૦૦૦/- છે.
સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ આ ટોળકીના બે સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં લુટેરી દુલ્હન સહિત ત્રણ આરોપી વોન્ટેડ છે. લુટેરી દુલ્હન ગેંગે 3.75 લાખ પડાવી લીધાવડોદરાના તરસાલી ખાતે રહેતી સોનાલીબેનના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ગામે રહેતા તારાબેન ભલગામાના દિકરા લાલજી મનસુખભાઇ ભલગામા સાથે લગ્ન કરાવી નોટરાઇઝ સોગંદનામુ તથા લગ્ન સબંધી સમજુતી કરાર કરાવી રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેંદ્ર પ્રજાપતિ, નાજીર તથા શરીફાબેન બચુભાઈ મુસ્લીમ તથા તોસીફ બચુભાઈ મુસ્લીમ દ્વારા તેમની પાસેથી રોકડા તથા ઓનલાઇન મળી કુલ રૂપિયા 3.28 લાખ, સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય રોકડ રકમ, મોબાઇલ ફોન તમામ મળી રૂપિયા 3.75 લાખ પડાવી લીધા હતાં. સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ.…પરંતુ લગ્ન બાદ આરોપીઓએ સાસરીમાંથી એકવાર પિયરમાં સોનાલીને તેડી લાવ્યા હતા. દુલ્હન પણ સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ આવી ગઈ હતી. જેના કારણે દુલ્હન સોનાલીને પરત સાસરીમાં પરત નહી મોકલી યુવક તથા મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયોમકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે.ગોરાદ ગામ, પ્રજાપતિવાસ પો.સ્ટ.ગોરાડ તા-જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો. મહિલા સહિત ત્રણ વોન્ટેડઆ ઘટનામાં પોલીસે અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી તથા સરીફાબેન બચુભાઈ સંધી ઝડપાયા હતા. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ તથા હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ તથા નજીરભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે.
પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં રવિવારે રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તળાવના બ્યુટીફિકેશનના મજૂરો, કુબેરેશ્વર મહાદેવના સેવકો અને પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રવિવારની રાત્રે સિદ્ધિ સરોવરમાં કામ કરતા મજૂરોને 'બચાવો બચાવો'ના અવાજો સંભળાયા હતા. તેમણે તરત જ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટને આ અંગે જાણ કરી હતી. તપાસ કરતા જણાયું કે એક મહિલા સરોવરના પાણીમાં ડૂબી રહી હતી. આ ઘટનાની જાણ ફાયર ઓફિસર સ્નેહલને ટેલિફોન દ્વારા કરાતા, ફાયરની ટીમ બોટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંધારા અને કડકડતી ઠંડી વચ્ચે સ્નેહલ, તેમની ટીમ અને તેજસ બારોટે બોટમાં બેસી સરોવરની વચ્ચે પહોંચી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી. પાણીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે મહિલાનું શરીર ઠંડીથી અકડાઈ ગયું હતું. સેવકોએ તેમને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપી હતી. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કિનારે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવાયેલી મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહે છે. માનસિક અસ્થિરતાના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ફાયર ટીમ અને સ્થાનિક સેવકોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે.
વડોદરામાં ઉત્તરાયણ સુરક્ષા માટે 5,000 નેક બેલ્ટનું વિતરણ:વાહનચાલકોને માર્ગદર્શન અપાયું
મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને, ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે સવિતા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલે વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે વિશેષ જાગૃતિ અને સુરક્ષા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, હોસ્પિટલ દ્વારા ૫,૦૦૦થી વધુ સેફ્ટી નેક બેલ્ટનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ સેફ્ટી નેક બેલ્ટ ખાસ કરીને દોરીથી ગળા અને ચહેરા પર થતી ગંભીર ઇજાઓથી બચાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન, હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા વાહનચાલકો, દ્વિચક્ર વાહન સવારો તેમજ રાહદારીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. દોરીથી થતા અકસ્માતોમાં ઘણી વખત ગંભીર ઇજાઓ જીવલેણ સ્થિતિ સર્જી શકે છે, તેથી સેફ્ટી નેક બેલ્ટ પહેરવાની મહત્વતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. સવિતા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ આનંદનો તહેવાર છે, પરંતુ થોડી બેદરકારી ભારે નુકસાનનું કારણ બની શકે છે. તેમણે પતંગ ચગાવતા તેમજ માર્ગ પર વાહન ચલાવતા સમયે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવ્યું.
ફલધરામાં ‘આદિવાસી આંગણે’ ઉત્સવ યોજાયો:વિસરાતી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનું પ્રદર્શન કરાયું
વલસાડ તાલુકાના ફલધરા ગામે ‘આદિવાસી આંગણે’ ઉત્સવ સંસ્કૃતિનો મેળો યોજાયો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનું જતન અને પ્રદર્શન કરવાનો હતો, જેથી યુવા પેઢીને આદિવાસી સંસ્કૃતિથી પરિચિત કરી શકાય. આ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજની વિવિધ લોકગીત, લોકધૂન અને લોકનૃત્યની જાણીતી મંડળીઓએ ભાગ લીધો હતો. આદિવાસી સમાજના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર અને યુટ્યુબર્સે પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ આપ્યો હતો. આ મેળાનું આયોજન ફલધરાના ડૉ. હેમંત પટેલ અને સમસ્ત ફલધરા ગામવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં બાળકોએ વિસરાયેલી પરંપરાગત રમતોનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, પ્રાચીન પરંપરાગત આદિવાસી વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેણે મુલાકાતીઓને આદિવાસી ભોજનનો અનુભવ કરાવ્યો હતો અને સંસ્કૃતિના વિવિધ પાસાં રજૂ કર્યા હતા.
સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પોલીસે 'દાણા જોવડાવવા'ના બહાને છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો. જોરાવરનગરની શાળા નં. 9ની ગલીમાં રહેતા 38 વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના બે કેસ નોંધાયા હતા. ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જોરાવરનગર પીઆઈ એચ.જે. ગોહીલની સૂચનાથી બીટ જમાદાર મૂળજીભાઈ મકવાણા આ કેસની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે નિકુંજ જોરાવરનગરની જ એક યુવતીને ભગાડીને લઈ ગયો છે. હાલમાં તેઓ વિસનગર પાસે સવાલા બસ સ્ટેશન નજીક પ્રજાપતિ મહોલ્લામાં મૈત્રી કરારથી રહે છે. આરોપી નિકુંજ 'રાજા મેલડી'ના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તેને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. સુરેન્દ્રનગર પોલીસે ફોન કરીને દાણા જોવડાવવાનું કહી છટકું ગોઠવ્યું. વિસનગર પહોંચી પોલીસે દાણા જોવડાવી આરોપીને ઓળખી લીધો અને તેને પકડીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના રગડિયા પ્લોટમાં ગટર સફાઈ શરૂ:સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી
ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા રગડિયા પ્લોટ વિસ્તારના રહીશોને લાંબા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી રાહત મળી છે. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટર સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રગડિયા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની હતી. ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર રેલાતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થવું સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે મુશ્કેલ બન્યું હતું, જેના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, આ રજૂઆતોને ધ્યાને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મશીનરી અને સફાઈ કામદારોની મદદથી ગટરમાં જામ થયેલો કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
મોગલ ધામના મહંત દક્ષાબાએ વડવાળા ધામની મુલાકાત લીધી:દુધઈમાં ગૌશાળાની સેવા જોઈ સંતોષ વ્યક્ત કર્યો
બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત મોગલ ધામના મહંત દક્ષાબાએ તાજેતરમાં દુધઈ ગામમાં આવેલા વડવાળા ધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ધામ ખાતેની ગૌશાળાના પણ દર્શન કર્યા હતા. ગૌશાળામાં ચાલી રહેલી ગૌ સેવાના આયોજન, સ્વચ્છતા અને ગૌ માતા પ્રત્યેની ભાવનાત્મક સેવા જોઈને મહંત દક્ષાબાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગૌ સેવા જેવા ધાર્મિક અને સામાજિક કાર્ય બદલ વડવાળા ધામના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત સમયે ધામના સેવાભાવી કાર્યકરો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
હીરા નગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૂળ અમરેલીનો શખ્સ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવવા જતોપકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે. 5.55 લાખનો મુદ્દામાલ અને વાહન જપ્તપોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટોનો જથ્થો આરોપી ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે. નકલી નોટોના કાળા કારોબારમાં એક વર્ષથી સંડોવાયેલોઆશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.
રાજકોટ શહેરમાં વસતા કિડનીની બીમારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલગ-અલગ 4 વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર હવે ડાયાલિસિસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 180 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જે ડાયાલિસિસ માટે દર્દીઓને મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે, તે ગુણવત્તાયુક્ત સારવાર હવે પાલિકાના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે. દરેક સેન્ટર પર 8 અત્યાધુનિક મશીનો કાર્યરતઃ અધિકારીઆરોગ્ય અધિકારી ડો જયેશ વાંકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાના કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને નાનામવા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ચારેય કેન્દ્રો પર અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC)ના સહયોગથી ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 2 મશીન મળીને કુલ 8 અત્યાધુનિક મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાએ મશીનરી અને RO પ્લાન્ટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ સ્ટાફનો સપોર્ટ IKDRC સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે. દર્દીઓને આર્થિક રીતે મોટી રાહતવધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં એક ડાયાલિસિસ કરાવવાનો ખર્ચ રૂ. 2500થી રૂ. 5000 સુધીનો થતો હોય છે. જો તેમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો ખર્ચ ઉમેરવામાં આવે તો આ આંકડો રૂ. 7000થી રૂ. 8000 સુધી પહોંચી શકે છે. કિડનીના દર્દીઓને અઠવાડિયામાં 2થી 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. રાજકોટ મહાપાલિકાના આ કેન્દ્રો પર ડાયાલિસિસની સાથે સાથે આવશ્યક દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 4 મહિનામાં 180 દર્દીઓને આશરે રૂ. 54,000થી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે. સારવાર મેળવવાની પ્રક્રિયા અને સમયડાયાલિસિસની પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે. એક ડાયાલિસિસ સાયકલ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછી 4થી 5 કલાકનો સમય લાગે છે. આથી, દરેક મશીન પર બે શિફ્ટમાં દિવસ દરમિયાન કુલ 2 દર્દીઓની સારવાર શક્ય બને છે. આરોગ્ય કેન્દ્રોનો સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે લાભાર્થીઓએ 9થી 6ના સમય દરમિયાન એક દિવસ અગાઉ એડવાન્સમાં જાણ કરવાની રહે છે, ત્યારબાદ અપોઈન્ટમેન્ટ સિસ્ટમ દ્વારા તેમનો સમય નિર્ધારિત કરવામાં આવે છે. સેવા મેળવવા માટેની શરતોચેપી રોગોના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો રાખવામાં આવ્યા છે. ડાયાલિસિસ દરમિયાન દર્દીના લોહીનું શુદ્ધિકરણ થતું હોવાથી, ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધુ હોય છે. આથી, જે દર્દીનો હિપેટાઈટીસ સી (Hepatitis C) નો રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ દર્દીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે. બ્લડમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન હોવું જોઈએ તે અનિવાર્ય છે. જે દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને જો તેમનો રિપોર્ટ નેગેટિવ હોય, તો તેઓ પણ આ સરકારી સેન્ટર પર શિફ્ટ થઈને મફત સેવાનો લાભ લઈ શકે છે. નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પણ મનપાની આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મોટાભાગના દર્દીઓ PM-JAY કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં જતા હોય છે, પરંતુ પાલિકાના આ કેન્દ્રો પર પણ નિષ્ણાંત સંસ્થા દ્વારા જ સારવાર અપાય છે, તેથી વધુને વધુ લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવો જોઈએ.
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે પક્ષને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. ‘AAPમાં ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર’સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. 'દિલ્હીથી ગુંડા લાવી ગુંડારાજ ચલાવશે'હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતાં તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે, જે પક્ષ પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે, જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું. રસ્તા પર AAPના ખેસ રઝળ્યા, લોકોએ કહ્યું- આના પર ચાલોસભાના સ્થળની બહાર પણ દૃશ્યો ચોંકાવનારા હતા. એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર લોકોએ પણ પક્ષની આ ખેંચતાણ જોઈને રોષે ભરાઈને કહ્યું હતું કે, આ ખેસ પર ચાલો. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારેબાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી. પક્ષમાં ભંગાણ: સહ-પ્રભારી હિતુભા રાઠોડનું રાજીનામુંસભા દરમિયાન જ એક મોટો વિવાદ સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને સ્ટેજ સુધી જવા ન દેવાતા હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેતા સનસનાટી મચી ગઈ છે. હિતુભા રાઠોડના ગંભીર આક્ષેપો: જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવશે તો તેની સાથે 'ગુંડારાજ' આવશે. ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોલીસ માટે જે પ્રકારની ભાષા વાપરી હતી અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરી હતી, તેવી માનસિકતા ધરાવતા લોકો સાથે હું કામ કરી શકું તેમ નથી. ગોપાલ ઇટાલિયાના સરકાર પર પ્રહારબીજી તરફ, મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે. જોકે, પક્ષની અંદર જ ઉઠેલા આ બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જોકે, એક તરફ પક્ષે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ પક્ષના જ સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. મોરબીમાં AAPએ શક્તિપ્રદર્શન તો કર્યું છે, પરંતુ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો પક્ષ માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.
પાટણ એલ.સી.બી. પોલીસે નાના રામણદા ગામના કાચા રસ્તેથી રૂ. 4.04 લાખનો વિદેશી દારૂ અને એક ઈક્કો ગાડી જપ્ત કરી છે. પોલીસને જોઈને ગાડીમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાલીસણા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાટણ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, સફેદ કલરની ઈક્કો ગાડી (નંબર GJ 08 CR 2184)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને તે ચડાસણા ગામથી બાલીસણા તરફ આવવાની છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. ચડાસણા તરફથી આવતી શંકાસ્પદ ઈક્કો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી નાના રામણદા ગામ તરફના કાચા નેળીયા રસ્તા પર હંકારી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કેનાલ પાસે નેળીયામાં ગાડી મૂકીને ચાલક અને તેની બાજુમાં બેઠેલો અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ બાવળની ઝાડીઓમાં નાસી ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરતા રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, મેકડોવેલ્સ નં. 1 અને વ્હાઈટ લેસ ઓરેન્જ ફ્લેવર વોડકા સહિતની કુલ 1035 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત કિંગફિશર બીયરના 120 ટીન પણ જપ્ત કરાયા હતા. કુલ રૂ. 2,54,435ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 1,50,000ની ઈક્કો ગાડી મળી કુલ રૂ. 4,04,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે એલ.સી.બી. કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહ દ્વારા બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરાર બંને શખ્સો વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. શર્મિષ્ઠાબેન પટેલને સોંપી છે.
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા ગોખરવાળા ગામ નજીક કેનાલના ભૂંગળામાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતની જાણકારી બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સિંહબાળને સુરક્ષિત બહાર કાઢી તેમની માતા સાથે મિલન કરાવ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગે ગંભીરતા અને સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. લીલીયા વન્યજીવ રેન્જનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વન વિભાગના કર્મચારીઓએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાપૂર્વક કામગીરી કરીને સિંહબાળને સુરક્ષિત રીતે કેનાલના ભૂંગળામાંથી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ સિંહબાળને કોઈપણ પ્રકારની ઈજા કે જોખમ ન થાય તે માટે તાત્કાલિક પિંજરામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. વનવિભાગ દ્વારા સિંહણ માદાનું અવલોકન કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. આસપાસના સમગ્ર વિસ્તારનું સઘન સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું અને સિંહણની હલચલ પર સતત નજર રાખવામાં આવી. રેસ્ક્યુ સ્થળ નજીક શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સિંહણ માદા રેસ્ક્યુ કરાયેલા સ્થળે આવી પહોંચતા, વનવિભાગ દ્વારા સિંહબાળ સાથે સિંહણનું સુખદ અને સ્વાભાવિક મિલન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું. આ સમગ્ર રેસ્ક્યુ અને મિલન પ્રક્રિયા મદદનીશ વન સંરક્ષક વિરલસિંહ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ લીલીયા વન્યજીવ રેન્જના સમર્પિત સ્ટાફ દ્વારા અત્યંત સંયમ, ધીરજ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, વન્યજીવો સંબંધિત કોઈપણ આવી ઘટના જોવા મળે તો તાત્કાલિક લીલીયા વન વિભાગને જાણ કરે. જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જળવાઈ રહે.
વાહન ચોરીના આરોપીને PASA હેઠળ અટકાયત:પોરબંદર પોલીસે આરોપીને સુરત જેલમાં મોકલ્યો
પોરબંદર પોલીસે વાહન ચોરી સહિત મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને PASA હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલ્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી કરવામાં આવી હતી. આરોપી મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઇ મઢવી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની સામે PASA હેઠળ અટકાયત માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે તેની અટકાયતનો હુકમ કર્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વોરંટની બજવણી કરીને આરોપી મનીષ મઢવીને સુરત જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
તીથલ શાંતિનિકેતન સાધના કેન્દ્રના યોગસાધક અને વિદ્વવદ્વવર્ય મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ (બંધુત્રિપુટી) આજે વહેલી સવારે 82 વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી તીથલ સ્થિત જૈન ઉપાશ્રય – શાંતિનિકેતન સાધના કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેમણે આધ્યાત્મિક સાધના, તપશ્ચર્યા અને ઉપદેશ દ્વારા અનેક ભક્તોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીના કાળધર્મથી જૈન સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભક્તો અને અનુયાયીઓએ તેમના શાંતિમય જીવન અને આધ્યાત્મિક યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. મુનિરાજ કીર્તિચંદ્ર વિજયજીની પાલખી અને અંતિમયાત્રા 12મી જાન્યુઆરી 2026, સોમવારના રોજ બપોરે 3 વાગે શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલથી નીકળશે. ત્યારબાદ તીથલના દરિયાકિનારે તેમની અંતિમ વિધિ અને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના ડીંડોલી કેનાલ રોડ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન એકબીજાની અત્યંત નજીક અને ઉપર-નીચે નાખવામાં આવી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ અણઘડ કામને કારણે ભવિષ્યમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની અને ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. ગાંધીનગરની ઘટના બાદ પણ તંત્ર ન જાગ્યુંગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળામાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેમ જણાય છે. એક તરફ નવી ગટર લાઈન નખાઈ રહી છે, તો બીજી તરફ તેની સમાંતર જ પાણીની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પાણીની લાઈન ઉપર બીજી પાણીની લાઈન અને તેની ઉપર ફરી ગટરની લાઈન નાખીને પાઈપલાઈનોના થર ખડકવામાં આવ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખી દેવાઈઆ વિચિત્ર એન્જિનિયરિંગ જોઈને અંબિકા વિલાના રહીશો પણ ચોંકી ઉઠ્યા છે. ત્રણ-ત્રણ પાઈપલાઈનો એકસાથે નાખવામાં આવી છે, પરંતુ કઈ લાઈન ક્યાં જશે અને તેનો હેતુ શું છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાલિકાના એન્જિનિયરોએ કેવા પ્રકારનું પ્લાનિંગ કર્યું છે કે ગટર અને પાણીની લાઈનો આ રીતે ભેગી કરી દીધી છે, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છેઃ પ્રદીપભાઈઅંબિકા વિલાના રહીશ પ્રદીપભાઈએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીંયા હું અંબિકા વિલામાં રહું છું. લગભગ દોઢેક મહિનાથી SMC વાળા અહીં ખોદીને ગયા છે. પાણીની લાઈન, ઉપર ગટરની લાઈન, ઉપર પાછી પાણીની લાઈન. આવી રીતે ખબર નહીં લાઈન ઉપર લાઈન કરી છે આ લોકોએ. ખબર નથી પડતી આ લોકોને આગળ શું કરવાનું છે. આ કોઈ નિર્ણય પણ નથી લઈ શકતા SMC વાળા. તો જરા ધ્યાન આપે આ બાબતનું અને આવી આવીને જોઈ જાય છે અને ફોટા પાડીને જાય છે.
મકરસંક્રાંતિ આ પર્વ આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે મકરસંક્રાંતિ પર્વને લઈને અલગ અલગ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પતંગ પર્વને લઈને બાળકો યુવાનો સહિતનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગરસિયાઓમાં પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓ બજારમાં ખરીદી કરી રહ્યા છે, પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો ગત વર્ષે 5 પતંગની કિંમત રૃપિયા 15થી રૂપિયા 20 હતી જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૃપિયા 25 ચૂકવવા પડશે, આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે આમ, પતંગ રૂ.6 થી લઈ 250 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૃપિયા 100 હતી, પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે, આ વર્ષના પતંગ- દોરીના ભાવો આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા 420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા 360, સફેદ ચાંદ ચિલના રૂપિયા 380, કલર ચાંદ ના રૂપિયા 420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે, અવનવી વેરાયટીઓ જોવા મળી રહી પતંગના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના પરેશભાઈ થાવરાણીએ જણાવ્યું કે આ વર્ષે પતંગ વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2026 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, આમ ઉતરાયણ પર્વ બ્યુગલ, ગેસના ફુગ્ગાઓ, ડોક્ટર પટ્ટી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો લોકો ખરીદી કરી રહ્યા છે, જોકે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે પતંગના હોલસેલના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના શૈલષભાઈએ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 10 ટકા સુધી વધી ગઇ છે આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં વ્યક્ત કરી હતી આ વખતે પતંગની વેરાયટીઓમાં નાના નાના પતંગો લોકો ભગવાન શણગાર કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે, આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, સુરત, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે લાવ્યા છીએ, નાના મોટા દરેક ને ટેરેસ પર પતંગ બાજી કરવા અવશ્ય જાય છે.
ગાંધીનગરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટનગરમાં નવા વસેલા સમાજના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરના સેક્ટર 22 સ્થિત રંગ મંચ ખાતે રવિવારે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષની પરીક્ષામાં સફળ થયેલા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજની સલાહકાર સમિતિના અધ્યક્ષ સંજયભારતી ગોસ્વામીએ યુવાનોને સમાજ કાર્યોમાં આગળ આવીને સહયોગ આપવા હાકલ કરી હતી. દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હિતેશભારતી કાનાભારતી ગોસ્વામીએ સમાજને સંગઠિત કરવા માટે સક્રિય યોગદાન આપવા સભ્યોને સૂચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત પરિવારજનોને અપીલ કરી હતી કે ગાંધીનગરમાં નવા વસેલા અન્ય પરિવારોને પણ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ સમારંભો અને પ્રવૃત્તિઓથી અવગત કરાવવામાં આવે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી મૃગેશભારતી ગોસ્વામી, પ્રદીપગીરી ગોસ્વામી સહિત સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય પરિવાર દ્વારા રાજયોગીની સુરેખા દીદીના જન્મદિવસ અને રાજરુષિ ભવન, ગોધરાના વાર્ષિક દિવસ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજઋષિ રિટ્રીટ સેન્ટર, છારીયા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેનેડાથી બીકે નવીનભાઈ અને વસંત મસાલાના ડિરેક્ટર બીકે ઓમપ્રકાશભાઈ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરેખા દીદી અને ગોધરા પરિવાર સાથેના પોતાના અનુભવો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સુખશાંતિ ભવન, અમદાવાદથી રાજયોગીની અમરબેન પણ હાજર રહ્યા હતા. તેમની સાથે શહેરાથી બીકે રતનબેન, દાહોદથી બીકે કપિલાબેન, ઝાલોદથી બીકે મીતાબેન અને લુણાવાડાથી બીકે જ્યોત્સનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ દીદીજીને ઉત્તમ સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે શુભેચ્છાઓ આપી હતી અને સુરેખા દીદી સાથેના તેમના સ્મરણો રજૂ કર્યા હતા. બીકે સુરેખા દીદીએ સમગ્ર બ્રાહ્મણ પરિવારને બાબાની મુરલી ક્યારેય ન ભૂલવા જણાવ્યું હતું. તેમણે મળેલ શુભકામનાઓ અને આશીર્વાદ બદલ પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. દીદીએ નવું વર્ષ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે તેવી પ્રાર્થનાઓ સાથે સૌને નૂતન વર્ષ 2026ના પ્રવેશની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 15 સેવાકેન્દ્રો અને 200થી વધુ ગીતા પાઠશાળાઓના 800થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સૌએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી સ્નેહમિલન મનાવી, ભોજન પ્રસાદી સ્વીકારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીકે લક્ષ્મણભાઈ, દેસાઈભાઈ, કનુભાઈ, શૈલેષભાઈ, કેતનભાઈ, ચિરાગભાઈ, સુરેશભાઈ અને શંકરભાઈ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીકે ઈલા દીદી, સોનલ દીદી અને અન્ય બ્રહ્માકુમારી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી 12 જૂના ડિરેક્ટર્સ ફરી ચૂંટાયા છે, જ્યારે એક નવા ડિરેક્ટરની એન્ટ્રી થઈ છે. આ ચૂંટણીમાં 13 બેઠકો માટે કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. ગઈકાલે યોજાયેલા મતદાનમાં 32,661 નોંધાયેલા મતદારોમાંથી 12,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી રાત્રે 8 વાગ્યા બાદ શરૂ કરવામાં આવી હતી અને અંદાજે પાંચ કલાકથી વધુ સમય બાદ મોડી રાત્રે પરિણામો જાહેર થયા હતા. ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારિયાએ આ માહિતી આપી હતી. વિજેતા ડિરેક્ટર્સમાં સામાન્ય વિભાગમાંથી 10, મહિલા વિભાગમાંથી 2 અને અનુસૂચિત જાતિ/જનજાતિ વિભાગમાંથી 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ડિરેક્ટર્સ 2026 થી 2031 સુધીના પાંચ વર્ષના કાર્યકાળ માટે સેવા આપશે. બેંકમાં 'વિકાસ પેનલ'ના 13 માંથી 12 ડિરેક્ટર્સ વિજયી થયા છે. 13મા ડિરેક્ટર તરીકે અમૃત પુરોહિત વિજયી થયા હતા, જેઓ નવા ચહેરા તરીકે ચૂંટાયા છે. સામાન્ય વિભાગના વિજેતા ઉમેદવારો અને તેમને મળેલા મત નીચે મુજબ છે:
દહેગામ તાલુકાના મોટી મોરાલી ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને પોલીસને પડકાર ફેંક્યો છે. ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં રખોપું કરવા ગયો, ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ ઘરના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 3.21 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યોદહેગામ તાલુકાના મોટી મોરાલી ગામના રાજાવતવાસમાં રહેતા ખેડૂત જયદિપસિંહ મોબતસિંહ રાજાવતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઘટનાની વિગત મુજબ જયદિપસિંહ ગત સાંજે સાત વાગ્યે ઘરે દીવાબત્તી કરી ઘરને લોક મારી ખેતરે રાત્રિ રોકાણ માટે ગયા હતા. આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરની લોખંડની જાળીનો દરવાજો ખોલી મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી દાગીના-રોકડ લઈ ફરારતસ્કરોએ ઘરના બે અલગ-અલગ રૂમમાં રાખેલી તિજોરીઓને ફંફોળી હતી, જેમાંથી 20 હજાર રોકડા તેમજ સોનાનો દોરો, સોનાની વીંટી, સોનાનું લોકીટ અને ચાંદીના રમજા સહિત કુલ રૂ. 3.21 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ અંગે પોલીસે જણાવ્યું કે, જયદિપસિંહની પત્ની હાલ સુવાવડ માટે પિયર ગયા છે. જયદિપસિંહ રાજાવત તેમના પિતા અને દાદા સાથે ખેતરે ઘઉંના પાકનું રખોપું કરવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ અંદાજે 26 ગ્રામ સોનાના ઘરેણાં અને 30 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આજે રાત્રે 14 ડિગ્રી તાપમાનના કારણે શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોએ બહાર નીકળવાનું ટાળીને તાપણાનો સહારો લઇ રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજ્યાસમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં આવેલા ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. ઠંડીના કારણે સન્નાટાભર્યો માહોલઅમરેલી જિલ્લામાં ધારી ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. અમરેલી શહેર ઉપરાંત દરિયાકાંઠાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા, બગસરા, વડિયા અને કુંકાવાવ સહિતના મોટાભાગના વિસ્તારોમાં સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે સન્નાટાભર્યો માહોલ છવાયો છે. તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવું: ભૂપત જોષી દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભૂપત જોષી જણાવે છે કે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 70 વર્ષની ઉંમર હોવા છતાં તેઓ સવારે 5 વાગ્યે 6 કિલોમીટર સુધી વોકિંગ માટે નીકળે છે. તેમણે યુવાનોને પણ શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે નિયમિત વોકિંગ કરવાની અપીલ કરી હતી. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાહવામાન વિભાગના અનુમાન મુજબ, ઉત્તર દિશામાંથી ફૂંકાતી ઠંડી હવાના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને સાવચેતી રાખવા જણાવાયું છે. ઠંડી વધતા ચા, કોફી અને ગરમ નાસ્તાની માંગમાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અનુરોધઠંડીના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને તબીબોએ વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી લેવાની સલાહ આપી છે. સવારના સમયે બહાર નીકળતા પહેલા પૂરતા ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
વલસાડ રૂલર પોલીસે નકલી સોનાના સિક્કા અને 'બ્લેક મની'ના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે વલસાડ-ધરમપુર રોડ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી મોટરસાયકલ, નકલી સિક્કા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કાળા કલરની પલ્સર મોટરસાયકલ પર બે ઈસમ ધરમપુરથી વલસાડ તરફ આવી રહ્યા છે. તેમની પાસે નકલી સોનાના સિક્કા છે અને તેઓ લોકોને છેતરવાના ઈરાદે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વાંકલ ગામના બોરડી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મોટરસાયકલ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. તેમાંથી કમલાકર સુરેશ ગાંગુર્ડે (રહે. વડપાડા, નાસિક, મહારાષ્ટ્ર) અને જયપ્રકાશ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકીયા પંઢરીનાથ મેહેર (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નિર્દોષ લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનાના સિક્કા પધરાવી દેતા હતા. તેમની પાસેથી ચલણી નોટના માપના કાળા કલરના કાગળો પણ મળી આવ્યા છે. તેઓ આ કાગળના બંડલની ઉપર અને નીચે અસલી નોટો મૂકી 'બ્લેક મની'ને અસલી નોટમાં બદલી આપવાના બહાને લોકોને છેતરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹49,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં MH 15 JY 4031 નંબરની ₹40,000ની કિંમતની મોટરસાયકલ, 152 નંગ નકલી સોનાના સિક્કા, ચલણી નોટના માપના કાળા કલરના કાગળના ટુકડા, ₹4,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને રોકડા ₹5,500નો સમાવેશ થાય છે. વલસાડ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35(1) અને 105(1) હેઠળ આરોપીઓની અટકાયત કરી છે. આ ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
VIDEO : અમેરિકાના લોસ એન્જેલસમાં રેલીમાં ખામેનેઈનો વિરોધ કરતા લોકોને ટ્રક ચાલકે કચડ્યાં
Los Angeles Video : ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોની આગ હવે અમેરિકા સુધી પહોંચી છે, જ્યાં લોસ એન્જલસમાં ઈરાનના પદભ્રષ્ટ રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં હિંસક ઘટના બની હતી. ઈરાનની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગઈ હતી અને લોકોને કચડતી આગળ વધી ગઇ હતી. આ હુમલામાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. આ ટ્રક પર 'No Shah' એટલે કે 'શાહ નહીં ચાહિયે' એવું લખેલું હતું.
ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી
North India Weather News : ઉત્તર ભારત રવિવારે હાડ થીજાવતી ઠંડીમાં થીજી ગયું હતું ત્યારે રાજસ્થાનમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહેતા સામાન્ય જનતાએ ઘરોમાં કેદ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મિરમાં શોપિયાં માઈનસ 8.6 ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ કેટલાક સ્થળો પર આ સિઝનમાં પહેલી વખત તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે જતું રહ્યું હતું. ઉત્તર ભારતમાં હજુ કેટલાક દિવસ સુધી હાડગાળતી ઠંડી સાથે શીત લહેર યથાવત્ રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.
ટ્રમ્પના ઇશારે ઇરાન ભડકે બળ્યું, 200થી વધુ શહેરોમાં દેખાવ, 550થી વધુના મોત, મસ્જિદોને આગચંપી
- મૃતકોમાં 100થી વધુ પોલીસકર્મી : 10 હજારથી વધુ લોકોની અટકાયત - આંદોલનકારીઓને આંખોમાં ગોળીઓ મરાઈ, અનેક ઘાયલ થતા હોસ્પિટલોમાં લોહીની અછત - ઇરાની લોકોએ લંડનમાં ઇરાનના હાઇ કમિશન પરથી ઇસ્લામિક ઝંડો ફાડીને ફેંકી દીધો - અમેરિકા એક પણ ગોળી છોડશે તો તેના સૈન્ય મથકો અને ઇઝરાયેલનો નાશ કરીશું : ઇરાનની ધમકી Iran Protest News : ઇરાનમાં કટ્ટરવાદી ઇસ્લામિક શાસન, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ સહિતના મુદ્દે જનતા બે સપ્તાહથી આંદોલન કરી રહી છે. આ આંદોલનને કચડી નાખવાના ખામેનેઇ પ્રશાસનના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે.
હૃદયની બીમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ:અફઘાની યુવકનું શંકાસ્પદ મોત,રૂમમાંથી મૃતદેહ મળ્યો
ફતેગંજમાં રહેતા અફઘાનિસ્તાની યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના રૂમમાંથી મળ્યો હતો. આ યુવક મ.સ.યુનિ.ની આર્કિટેક્ચર ફેકલ્ટીમાં પીએચડી કરી રહ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. યુવકને હૃદયની તકલીફ હતી અને તેનાથી મૃત્યુ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ફતેગંજ નવયુગ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતો અફઘાનિસ્તાનના કારૂન શહેરનો 34 વર્ષીય બયાનઉલ્લા અહમદજાન જીયા પીએચડી કરતો હતો. 4 દિવસથી પરિવાર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો, પણ તેનો પ્રતિસાદ મળતો નહોતો. જેથી પરિવારે શનિવારે તેના મિત્રને તપાસ કરવા કહ્યું હતું. જેથી મિત્ર યુવકના ઘરે પહોંચતાં દરવાજો બંધ હતો. બયાનઉલ્લા દેખાતો ન હોવાથી પાડોશી પણ દોડી આવ્યા હતા અને તેમણે યુવકને 2 દિવસથી જોયા ન હોવાનું જણાવ્યું હતું. આખરે મકાન માલિક અને 112ને જાણ કરી દરવાજો તોડતાં રૂમમાં તે મૃત હાલતમાં પડ્યો હતો અને તેની આસપાસ કેટલીક દવા વિખરાયેલી હતી. સયાજીગંજ પોલીસે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવકને હૃદયની તકલીફ હતી અને તેની આસપાસ જે દવા મળી તે હૃદયરોગ અને એસીડીટીની હતી. પોલીસ અને મ.સ.યુનિ.ના સત્તાધીશોએ તમામ કાર્યવાહી રવિવારે પૂર્ણ કરાવી સોમવારે મૃતદેહને અફઘાનિસ્તાન રવાના કરાશે. ગૂંગળામણ થાય તેવા રૂમમાં બયાનઉલ્લા 2 વર્ષથી રહેતો હતોપોલીસ મધરાતે બયાનઉલ્લાના ઘરે પહોંચી હતી. તેને હૃદયની તકલીફ હતી છતાં તે એવા ઘરમાં રહેતો હતો કે, જ્યાં સતત ગૂંગળામણનો અનુભવ થયા કરે. કોઈ પણ વ્યક્તિ 30 મિનિટથી વધારે તે ઘરમાં રહી ન શકે, છતાં તે 2 વર્ષથી તે ઘરમાં રહેતો હતો. તેણે અનુસ્નાતક રાજકોટ ખાતેથી કર્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટ ~10 હજારમાં વેચતા 2 પકડાયા
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે મેચની રૂા.2 હજારની કિંમતની એક ટિકિટનું કાળાબજારમાં 10 હજારમાં વેચાણ કરનારા બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે 17 ટિકિટ સાથે ઝડપી લીધા છે. કોટંબીમાં રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. મેચ પૂર્વે ટિકિટ માટેનું પોર્ટલ ખૂલ્યું હતું, તે સમયે 4 સેકન્ડમાં જ ટિકિટ વેચાઈ ગઈ હતી. જે બાદ તેનાં કાળા બજારની સંભાવના ઊઠી હતી. વન-ડે ટિકિટના કાળા બજાર રોકવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, બે શખ્સો ઊંચા ભાવે ટિકિટ વેચી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચે બંનેને ભાંડવાળા નાકા ખાતેથી ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લેવલ-1, 2 અને 3ની કુલ રૂા.31 હજારની 17 ટિકિટ કબજે કરાઈ હતી. આરોપીઓ રૂા.2 હજાર અને રૂા.1 હજારની ટિકિટ 5 ગણા ભાવે વેચતા હોવાનું જોવા મળ્યું હતું. 1 ટિકિટ પર 1 હજાર કમિશન લેતા, મુખ્ય સૂત્રધાર ફરારક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે, 2 શખ્સ ટિકિટનાં કાળા બજાર કરે છે. જેથી પોલીસે નકલી ગ્રાહક થકી ટિકિટ ખરીદવા ભાંડવાળા નાકા ખાતે મળવાનું નક્કી કર્યું હતું. જ્યાં ટિકિટ વેચવા આવેલા આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે આરોપીઓ તો કમિશન એજન્ટ હતા. તેઓ 1 હજારની ટિકિટ સામે 1 હજાર કમિશન લેતા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર પકડવાનો હજુ બાકી છે. સુરતના વરાછાના ફેન્સે વધારાની ટિકિટ 4 હજારમાં વેચીરવિવારે સ્ટેડિયમની બહાર વધારાની ટિકિટ આવી છે કે એક જણ આવવાનો નથી અને એક ટિકિટ છે, તેવું કહી ટિકિટ વેચનારા લોકો પણ જોવા મળ્યા હતા. સુરતના વરાછાથી આવેલા 3 પૈકીના એકે જણાવ્યું કે, અમે સુરતમાં 1 હજારની ટિકિટ 4 હજારમાં લીધી હતી. 1 વધારાની ટિકિટ હોવાથી અહીં એ ભાવેભાવમાં 4 હજારમાં જ વેચી દીધી છે. આરોપીઓનાં નામકેતન શાંતિલાલ પટેલ (નાની કાછિયાવાડ, છાણી) આરોપી પાસેથી લેવલ-1ની રૂા.2 હજારની 8 ટિકિટ અને લેવલ-2ની રૂા.2 હજારની 4 ટિકિટ મળી કુલ 12 ટિકિટ મળી આવી હતી. હિતેશ મૂળશંકર જોષી (શ્રીધર સોસાયટી, નિઝામપુરા) આરોપી પાસેથી લેવલ-2ની રૂા.2 હજારની બે અને લેવલ-3ની રૂા.1 હજારની 3 ટિકિટ મળી કુલ 5 ટિકિટ મળી હતી.
પેવર બ્લોક મુદ્દે વિવાદ:વારસિયાના કોટ વિસ્તારમાં 2 વર્ષ પહેલા લગાડેલા પેવર બ્લોક કાઢીને નવા નખાશે
વારસિયામાં ઝૂલેલાલ મંદિર પાસે આવેલા કોટ વિસ્તારમાં ટી-બ્લોક પાસે 2 વર્ષ પહેલાં લગાડેલા પેવર બ્લોક કાઢી નખાયા હતા. મોટી માત્રામાં આ પેવર બ્લોક કચરામાં નાખી દેવાયા હોવાના આક્ષેપ યૂથ કોંગ્રેસના પ્રમુખે કર્યા હતા. શહેરમાં વિવિધ વિસ્તારોમાં લગાડાતા પેવર બ્લોક સમય જતાં કાઢી નાખી નવા લગાડાય છે. પેવર બ્લોક સારી હાલત હોય તેવા કિસ્સામાં પણ પેવર બ્લોક કાઢી નાખવામાં આવતા હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં.6ના વારસિયા ખાતે પેવર બ્લોક મોટી માત્રામાં કચરામાં પડેલા હોવાના આક્ષેપો યૂથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ કોર્પોરેટરો દ્વારા તેમને ફાળવાતા પ્રજાલક્ષી બજેટનો યોગ્ય ઉપયોગ કરાતો નથી. બીજી બાજુ સારા બ્લોક હોવા છતાં તેને કાઢી નવા બ્લોક નાખી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા. 2 વર્ષ પહેલાં જ આ પેવર બ્લોક નાખ્યા હતા, જેને કોઇ કારણ વગર કાઢી નાખીને કચરાના ઢગલામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. 10 વર્ષ ચાલે તેવા પેવર બ્લોક બે જ વર્ષમાં કાઢી નખાયા, અનેક વિસ્તારમાં પેવર બ્લોક મુદ્દે વિવાદપેવર બ્લોકની આવરદા 10 વર્ષ ચાલે તેવી હોય છે, છતાં 2 વર્ષમાં જ કાઢી નખાયા હતા. જેને પગલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પેવર બ્લોક કેમ કાઢવામાં આવ્યા છે, તેની જાણકારી પણ અધિકારીને નથી. શહેરમાં વિવિધ વિસ્તારમાં પેવર બ્લોકને લઇને અનેક વિવાદો થાય છે, છતાં તેની કામગીરીનો ઇજારો કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આપી દેવાતો હોય છે.
કિશનવાડીમાં લકવાગ્રસ્ત દીકરીની તબીબી સારવાર રોકાવીને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તેના પિતા ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ તેને સ્વસ્થ કરવા માટે કીમિયા શરૂ કર્યા હતા. પિતાએ યુવતીને ઘરના મંદિરમાં સૂવડાવી દઈને આસપાસ દીવડા પ્રગટાવ્યા હતા. જોકે યુવતીની માતાએ તેનો વિરોધ કરીને અભયમની મદદ માગી હતી. જેથી અભયમની ટીમ યુવતીના પિતા પાસે પહોંચી હતી અને તેઓનું કાઉન્સેલિંગ કરીને અંધશ્રદ્ધા દૂર કરીને યોગ્ય સારવાર કરાવવા માટે સમજ આપી હતી. તે પછી આખરે પિતાએ ખાતરી આપી હતી કે, દીકરીની યોગ્ય સારવાર કરાવશે. કિશનવાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો છૂટાછેડાનો કેસ હાલમાં ચાલી રહ્યો છે. જેના તણાવમાં 2 મહિનાથી તેને લકવા થઈ ગયો હતો. લકવાની સારવાર લેવા માટે તેની માતા યુવતીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં 10 દિવસની સારવાર બાદ યુવતીને રજા અપાઈ હતી. જોકે તે બાદ યુવતીના પિતા તેની માતાની જાણ બહાર જૂના ઘરે લઈ ગયા હતા. જૂના ઘરમાં યુવતીના પિતાએ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને કીમિયા શરૂ કર્યા હતા. તેમણે ઘરમાં બનાવેલા મંદિરમાં યુવતીને સૂવડાવી દીધી હતી અને તેની આસપાસ દીવા કરી દીધા હતા. યુવતીની માતાને આ વિશે જાણ થઈ ત્યારે તેઓએ પતિને સમજાવ્યા હતા. જેથી છેવટે માતાએ અભયમની સહાય લીધી હતી. અભયમની ટીમે યુવતીના પિતાને સમજાવ્યા હતા કે, ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, આખરે ટીમે તેના પિતાનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા. જેથી યુવતીના પિતા સમજી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર કરવા સહમત થયા હતા. યુવતીના પિતા તેની માતાને પણ સાથે નહોતા રાખતાલકવાગ્રસ્ત યુવતીની વય 30 વર્ષની હતી, તેની દૈનિક ક્રિયાઓ માટે તેની માતાની તેને જરૂર પડતી હતી. જોકે યુવતીના પિતા તેની માતાને સાથે રાખતા નહોતા. તેઓની વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. તેના પિતા જ યુવતીના તમામ કામ કરતા હતા. જેથી અભયમની ટીમે પિતાને સમજાવ્યું હતું કે, દીકરી જુવાન છે, તેને તેની માતાની જરૂર પડે. જેથી પિતા તેની માતાની સાથે રાખવા સહમત થયા હતા.
સારાભાઈ કેમ્પસમાં શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં નશામાં ધૂત આધેડ મહિલાએ કાર દીવાલમાં અથાડી દીધી હતી. અકસ્માતનો બનાવ બનતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરીને મહિલાને પોલીસને હવાલે કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મહિલા ગોત્રી ખાતે તેની મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા. શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શનિવારે સાંજે એક પૌઢ નશામાં ધૂત મહિલા કાર ચાલકે અકસ્માત કર્યો હતો. શનિવારે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક કાર સારાભાઈ કેમ્પસમાં જઈને કેમ્પસની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. કારમાં એક મહિલા સવાર હતી અને તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતી. જેથી લોકોએ ગોરવા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. મહિલા એ હદે દારૂ પીધેલી હાલતમાં હતી કે, તે પોતાનું સંતુલન પણ જાળવી શકતી નહોતી અને તેણે ધમાલ પણ કરી હતી. પોલીસે તેને મહામહેનતે પીસીઆર વેનમાં બેસાડીને પોલીસ મથક લઈ ગઈ હતી. પોલીસ મથકે પૂછપરછમાં, મહિલાને તેનું નામ, તેના ઘરનું સરનામાનું પણ ભાન નહોતું. જોકે તેણે જણાવ્યું હતું કે, તે ગોત્રીમાં તેની મિત્રના ઘરે ગઈ હતી અને ત્યાં તેણે દારૂ પીધું હતું. જેથી પોલીસે મહિલાના મોબાઈલમાં રહેલા આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી હતી. તેની ઓળખ પ્રિયા તરીકે થઈ છે અને તેની વય 57 વર્ષ છે. જેથી મહિલાના પતિને જાણ કરીને તેઓને પણ પોલીસ મથક બોલવવામાં આવ્યા હતા. મહિલાની શારીરિક તપાસ કરાવીને નોટિસ આપીને તેઓને ઘરે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. રવિવારે સવારે તેઓને ફરીવાર બોલાવવામાં આવ્યાં હતાં અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે પ્રિયાબહેનના ઘરે જઈને તપાસ કરી હતી, જોકે પોલીસે કંઈ મળી આવ્યું નહોતું. તેઓએ ગોત્રી વિસ્તારમાં કઈ જગ્યાએ દારૂ પીધો છે તેની પોલીસ શોધમાં છે. 57 વર્ષીય મહિલા ગોત્રીમાં મિત્રને ત્યાંથી દારૂ પીને આવ્યા હતા, પોલીસે નોટિસ આપી ઘરે જવા દીધા57 વર્ષની આધેડ મહિલા પ્રિયા કાર લઈને ગોત્રી વિસ્તારમાંથી નીકળી હતી અને તેઓને ઘરે જવાનું હતું. જોકે તેઓને કાર ચલાવતી સમયે હોશ નહોતો જેથી ગેંડા સર્કલથી સીધુ જવાને બદલે તેઓ સારાભાઈ કેમ્પસમાં જતા રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રિયા અને તેમના પતિ વચ્ચે પણ ખટરાગ ચાલી રહ્યો છે અને તેમનાં સંતાનો વિદેશમાં રહે છે.
ભાસ્કર નોલેજ:મકરસંક્રાંતિ પૂર્વે શેરડીના ~70 અને બોરના ભાવ કિલોએ રૂપિયા 100-120 પર પહોંચ્યા
મકરસંક્રાંતિ પર શેરડી, બોર અને લીલા શાકભાજી દાન કરવાનો મહિમા છે. ત્યારે શહેરમાં બોર અને શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે. શાકભાજીના વેપારીના જણાવ્યા મુજબ બોર મહેસાણાથી આવે છે. આ વખતે પાક ઓછો છે, જેથી ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 80 રૂપિયે કિલોના ભાવે વેચાતા બોર આ વખતે 100થી 120 રૂપિયે કિલો વેચાય છે શેરડી પણ ગત વર્ષે એક સાંઠો 50 રૂપિયામાં વેચાતો હતો, જે આ વખતે 70 રૂપિયા સુધી છૂટક બજારમાં વેચાય છે. જોકે આ અંગે આગળથી જ ભાવ વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિ પર્વ પર દાનમાં બોર અને શેરડી સાથે શાકભાજી પણ આપવામાં આવે છે. માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ અને બરાબર બોલતા ના હોય તેમના નામે બોર વહેંચવામાં આવે છે, જેથી બાળકો બોલતા થાય છે. શહેરમાં ઠેર-ઠેર શેરડી અને બોરની હાટડીઓ જામી છે. શેરડીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોવાથી માન્યતાશેરડીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. સાથે ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. તેમજ આ સિઝનમાં પોષ્ટીક પદાર્થ દાન કરવામાં આવે છે. શેરડીનો નવો પાક આ સિઝનમાં આવે છે. તેથી તે પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે ત્યાર પછી શેરડીને ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાયણ પર્વ પહેલાંના છેલ્લા રવિવારે પતંગ બજારો ઉભરાયાવડોદરા | ઉત્તરાયણ પર્વ પહેલા છેલ્લો રવિવાર આવતા શહેરના બજારો પતંગ રસિકોથી ઉભરાયા હતા. આગામી બુધવારે ઉત્તરાયણ પર્વ છે. રવિવારે શહેરના માંડવી અને લહેરીપુરા વિસ્તારમાં આવેલા પતંગ અને દોરાના વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. જેે પગલે સાંજે એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.બીજી તરફ ન્યાય મંદિર પદ્માવતી પાસે પાલિકા દ્વારા રવિવારે પણ દબાણ શાખાની ટીમ અને વાહનો સ્ટેન્ડ બાય રાખ્યા હતા. શહેરના માંડવીથી ચોખંડી તરફના રોડ પર તેમજ પશ્ચિમમાં ચકલી સર્કલ તરફ પતંગ ખરીદવા તેમજ શેરડી અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે મહિલાઓની ભીડ જોવા મળી હતી. ૉ
મંડે પોઝિટીવ:બાળકોનું વચન: અમે તો શીખ્યાં, હવેથી માતાપિતાને પણ મોબાઈલથી દૂર રાખીશું
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ‘એક યુદ્ધ-રોગ વિરુદ્ધ’ થીમ સાથે રોગમુક્ત ભારત અભિયાન ચાલુ કરાયું છે. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 108 વિદ્યાર્થીઓને ધુમ્રપાન, તમાકુ-દારૂ અને અન્ય વ્યસનો ઉપરાંત મોબાઈલ, ટેબ્લેટના વધુ પડતા ઉપયોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં નુકસાનને રોકવા માટે માર્ગદર્શન અપાયું હતું. આ માર્ગદર્શન બાદ બાળકોએ પણ વચન આપ્યું હતું કે, અમે તો સ્ક્રીન એક્ઝપોઝરથી થતાં નુકસાન વિશે સમજ્યાં, હવે અમારાં માતા-પિતાને પણ મોબાઈલથી દૂર રાખવા પ્રયાસ કરીશું. ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમ વડોદરાની એસ.ડી.પટેલ સ્કૂલમાં કુલ 20 કલાકનાં સત્રોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં હતાં. પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડો.કમલેશ શાહે જણાવ્યું હતું કે, 1-1 કલાકનાં 20 સત્રોમાં બાળકોને મેડિસીન અને નોન મેડિસીનના ઉપાયોથી રોગમુક્ત કેવી રીતે રહી શકાય તે વિશે સમજ આપી હતી. આ સત્રોમાં માનસિક સ્વાસ્થ્ય, ખાનપાનની આદતો સુધારવી, મોબાઈલ-ટીવીના વ્યસનથી છૂટકારો જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સત્રોમાં પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજનાં પ્રિન્સિપાલ ડો.અલ્પેશ શાહની પ્રેરણા હેઠળ ડો.આનંદ પટેલ, ડો.પ્રેક્ષા છાજેર અને તેમના હેઠળ તાલીમ પામેલા નિવારક આરોગ્ય યોદ્ધાઓની ટીમ દ્વારા આ વિષયને પોસ્ટર, નાટક, રમતો અને સવાલ-જવાબ વગેરેની મદદથી મલ્ટી મીડિયાનાં માધ્યમ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં સ્ક્રીન એક્પોઝરને ઓછું કરવા માટે મોબાઈલનો ઉપયોગ ક્યારે ન કરવો અને ક્યારે કરવો તે અંગે સમજ અપાઈ હતી. મોબાઈલથી થતાં નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
ભારત-ન્યૂઝીલેન્ડની મેચ:ટ્રાફિકની ગુગલી, ચિક્કાર સ્ટેડિયમ-રોડ ચક્કાજામ
ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં પ્રેક્ષકો ઉત્સાહથી જોડાયા હતા. કોટંબી સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થઈ ગયું હતું. 30 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ પહેલીવાર હાઉસફુલ થયું હતું. જોકે સ્ટેડિયમ સુધી પહોંચવા અને મેચ પૂર્ણ થયા બાદ બહાર નીકળવા પ્રેક્ષકો ટ્રાફિકની ‘ગુગલી’માં ફસાતાં રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેડિયમ સુધી પહોંચવા 8 કિમીનો ટ્રાફિક જામ થયો હતો. જ્યારે મેચ નિહાળવા માટે પહોંચેલા ચાહકોથી સ્ટેડિયમ ચિક્કાર થઈ ગયું હતું. વડોદરાથી કોટંબી પહોંચવા અને હાલોલ તરફ જવાના રોડ સાથે હાલોલથી જરોદ આવવાના રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિકમાં ક્રિકેટરોની બસ, વીઆઈપી, સહિત પ્રેક્ષકો ફસાયા હતા. લોકો સ્ટેડિયમથી એકથી બે કિમી દૂર પોતાના વાહન પાર્ક કરીને સ્ટેડિયમ સુધી ચાલીને પહોંચ્યા હતા. મેચ રવિવારે બપોરે દોઢ વાગે શરૂ થઈ હતી. જોકે મેચ શરૂ થયા બાદ પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા નહોતા. સ્ટેડિયમનું સાઉથ સ્ટેન્ડમાં અનેક સીટો ખાલી જણાતી હતી. 3 હજારથી વધુ લોકો મેચ શરૂ થયાના દોઢ કલાક બાદ જગ્યાએ પહોંચ્યા હતા. કોહલીએ 91 બોલમાં 93 રન ફટકાર્યા હતા. જોકે કોહલી આઉટ થઈ ગયા બાદ પ્રેક્ષકો નિરાશ થયા હતા અને સ્ટેડિયમ છોડી જવા લાગ્યા હતા. 3 હજારથી વધુ લોકોએ સ્ટેડિયમ છોડી દીધું હતું. અંતે કે.એલ.રાહુલ મેચને જીત તરફ લઈ ગયો હતો. ભારત મેચ જીતી જતાં પ્રેક્ષકોના ઈન્ડિયા-ઈન્ડિયા… ની બૂમોથી આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું હતું. પ્રેક્ષકોએ ભારતની જીત ઉત્સાહથી ઉજવણી કરી હતી. રસાકસીની મેચમાં એક ક્ષણે મેચ ડ્રો થશે તેવી પણ સંભાવના સર્જાઈ હતી. બધી ટિકિટ વેચાઇ હોવા છતાં એક તબક્કે અનેક ખુરશી ખાલી રહેતાં ઘાલમેલની ચર્ચાહાલોલ રોડ પર કોટંબીમાં પહેલીવાર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં દર્શકો ઊમટી પડતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ભારતીય ટીમને લઈ જતી બસ ભણિયારા અને કોટંબી વચ્ચે ટ્રાફિકમાં અટવાઈ હતી.જેથી પોલીસે દોડી જઈ બસ સ્ટેડિયમ સુધી પહોંચાડી હતી. જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું ટ્વિટ કર્યું હતું. મેચ ચાલુ થયા બાદ 3 હજાર જેટલા લોકો પહોંચ્યા હતા. દૂર પાર્કિંગ અને સિક્યુરિટી ચેકથી દર્શકો કંટાળ્યા હતા. મેચ ચાલુ થવા છતાં સ્ટેડિયમમાં અનેક ખુરશી ખાલી રહી હતી. જેને પગલે એક તબક્કે ચર્ચા ચાલી હતી કે, તમામ ટિકિટો વેચાઈ ગઈ છે ત્યારે તેમાં કંઈ ઘાલમેલ તો નથી થઈને? હર્ષા ભોગલેનું નારાજગી વ્યક્ત કરતું ટ્વિટ જાણીતા કોમેન્ટેટર હર્ષ ભોગલે એ ટ્વીટ કર્યું હતું.જેમાં 8 થી 10 કિમી નો મેસિવ ટ્રાફિક જામ સ્ટેડિયમ જવાના માર્ગે થયો હોવાનું જણાવ્યું હતું.પોતે 1 કલાકથી રોડ ઉપર ફસાયો હોવાનું જણાવ્યું હતું.અને બધી ટિકિટો વેચાઈ ગઈ છે.હવે આપડે ઓડીઆઈ ક્રિકેટ મેચ માટે શું કહેવું. તંત્રે વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધીપોલીસ વિભાગ અને વહીવટી તંત્રે મેચના દિવસે 30 હજાર દર્શકો આવવાનો અંદાજ લગાવી વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જતા ભારદારી અને ખાનગી વાહનોનો અંદાજ લગાવવામાં થાપ ખાધી હતી. શુભમન ગીલના પિતા હોવાના બહાને બેરિકેડ્સ હટાવી બસ સ્ટેડિયમ પહોંચીમેચ ચાલુ થવાની કેટલીક મિનિટ અગાઉ 1.25 વાગે ટ્રાવેલર બસ સ્ટેડિયમના ઇસ્ટ બ્લોકના કનેક્ટિંગ રોડ પાસે વડોદરા તરફથી રોંગ સાઇડમાં આવી હતી. આ સાઇડથી એન્ટ્રી બંધ હતી. આ બસમાંથી એક વ્યક્તિએ ઊતરીને પોલીસને બસ બીસીસીઆઇની છે અને તેમાં શુભમન ગીલના પિતા છે, એમ કહેતાં પોલીસે કોઇ ખાતરી કર્યા વિના બેરિકેડ ખોલી નાખ્યાં અને રોંગ સાઇડ પર બસ જવા દીધી હતી. એરપોર્ટ સર્કલથી છેક કોટંબી સુધી રસ્તાઓ પર જર્સીઓ ખરીદવા પડાપડી, આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયુંવડોદરા. ક્રિકેટ મેચના પગલે ક્રિકેટની જર્સી, ચશ્મા, ટોપી સહિતના સામાનનું વેચાણ કરતાં પથારાઓ જોવા મળ્યા હતા. જેમાં રોહિત અને વિરાટ લખેલી જર્સીઓનું ધૂમ વેચાણ થયું હતું. ટોલ નાકા બાદ હાઇવે પર પથારાઓ વાળાને જોઇને હાઇવે પર જ કાર ઊભી રાખીને ફેન્સે ખરીદી ચાલુ કરી હતી. જેના પગલે કોઇ અકસ્માત થાય તે ટાળવા માટે પોલીસે પથારાવાળાઓને મુખ્ય રસ્તાથી અંદરની તરફ ખસેડ્યા હતા. પથારાવાળાઓએ બીસીએએ દર કિમીએ રસ્તાની સાઇડ પર કોટંબી સ્ટેડિયમનું સ્થાન અને કિમી દર્શાવતા દિશાસૂચક બેનર ભારતીય પ્લેયર્સ સાથેના મૂકેલા હતા. જ્યારે આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયું હતું. જય શાહ અને પ્રણવ અમીને વિરાટ કોહલી-રોહિતની 26 ફૂટ ઊંચા બેટમાંથી એન્ટ્રી કરાવીસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. સચિન તેંડુલરનાના ફેન સુધીર કુમારને દંડા સાથેનો તિરંગો લઈને એન્ટ્રી કરતાં અટકાવ્યોસચિન તેંડુલકરનો ફેન સુધીર કુમાર બપોરે 1 વાગ્યાના સુમારે તેના પરંપરાગત મેકઅપ, દંડા સાથેના તિરંગા સાથે ઇસ્ટ સ્ટેન્ડ પર એન્ટ્રી લીધી હતી. તેની એન્ટ્રી થતાં જ ચાહકોએ ફોટો લેવા પડાપડી કરી હતી. ત્યારબાદ તે ઇસ્ટ સ્ટેન્ડ પરની મેઇન એન્ટ્રી પર આવતાં જ તેને અટકાવવામાં આવ્યો અને ઝંડાનો દંડો કાઢવાનું કહ્યું ત્યારે સુધીર કુમારે કહ્યું કે, હું ઇન્ટરનેશનલ મેચો જોવા દુનિયાભરમાં જાઉ છું. જોકે આટલું જ કહેતા સમજી ગયેલા પોલીસકર્મીઓએ તેમને અંદર જવા દીધા હતા. પોલીસે પાણીની બોટલો સાથે લોકોને પ્રવેશ ન આપતાં સ્ટેડિયમ બહાર વિવિધ ચીજોનો ઢગલોક્રિકેટ ફેન્સ પાણીની બોટલો સાથે લઇને સ્ટેડિયમ તરફ જતાં પોલીસે એક તબક્કે મેઇન રોડની એન્ટ્રી પર જ અટકાવ્યા હતા. જેના લીધે એક સ્થળે પાણીની બોટલોનો ઢગલો થઇ ગયો હતો. આ ઉપરાંત પણ દંડા, થેલીઓ, સ્ટ્રો, પ્લાસ્ટિકની પિપૂડીઓ અને અન્ય ચીજોનો સમાવેશ થતો હતો. જોકે પોલીસ સાથે લોકોની દલીલબાજી પણ થઇ હતી. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચતાં પિક પોકેટર્સને તડાકો, અનેકના મોબાઇલ ચોરાયાપ્રેક્ષકો સ્ટેડિયમ સુધી પહોંચતા ટ્રાફિકમાં ફસાયા હતા. બીજી બાજુ સ્ટેડિયમમાં પણ તે ઘણું ચાલીને પહોંચ્યા હતા. જોકે સ્ટેડિયમમાં પિક-પોકેટર્સ એક્ટિવ થયા હોવાનું જણાયું હતું. ઘણા લોકોના ફોન ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફોન ચોરીની ફરિયાદ નોંધાવે તેની શક્યતા છે.
હવે સીમાના ગૌરવના સાક્ષી બની શકાશે:લક્કી નાળા પાસે ક્રીકમાં સમુદ્રી સીમા દર્શન શરૂ કરાયું
લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લક્કી નાળા ખાતે ગુજરાત ટૂરિઝમ દ્વારા ગત વર્ષથી “સમુદ્રી સીમા દર્શન” શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે પણ તેઓ જાણકાર થાય તેમજ અહીંની સરહદ પર તહેનાત દેશના બીએસએફના જવાનોની કામગીરીથી અવગત થાય તેવા હેતુસર ભારતમાં પ્રથમ વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો, પણ ગત વર્ષથી હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સમુદ્રી સીમાદર્શન પ્રોજેક્ટમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડ શરૂ કરવામાં આવી છે. જેનો રોમાંચ અલગ છે. બુકિંગ કેવી રીતે કરાવશો?હાલમાં શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી સંપર્ક નંબર 9824512730 તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકે છે. બોટમાં મહત્તમ 6 લોકો જઈ શકે છે. ટિકિટ વ્યક્તિદીઠ માત્ર 200 રૂપિયા છે. જેમાં એક કલાકની બોટ રાઇડ કરાવવામાં આવે છે. ક્રિકમાં પ્રવાસનનો વિકાસઆગામી સમયમાં ક્રિક વિસ્તારમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક, ભૂંગા રિસોર્ટ ,એડવેન્ચર પાર્ક શરૂ કરાશે.
માટલાં ફોડી રહીશોનો વિરોધ:કારેલીબાગમાં ભરશિયાળે પાણી માટે વલખાં
કારેલીબાગમાં 6 મહિનાથી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. 20થી વધારે સોસાયટીમાં પાણીના લો-પ્રેશરથી લોકો પરેશાન છે ત્યારે આમ્રપાલી-દિપાલી સોસાયટીના રહીશોએ માટલાં ફોડ્યાં હતાં. કારેલીબાગ પાણીની ટાંકીની આજુબાજુની 20થી વધુ સોસાયટીઓમાં પણ પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી. લો-પ્રેશરને પગલે લોકો પીવાના પાણીનાં ટેન્કરો પાછળ રૂા.500 ખર્ચ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરોને અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ લવાતો નથી. જ્યારે અધિકારીઓ પણ ગોળ-ગોળ જવાબો આપે છે, જેથી રહીશો પરેશાન છે. આમ્રપાલી-દિપાલી સોસાયટીના રહીશોએ કહ્યું કે, અમે અનેક રજૂઆતો કરી છતાં 10 મિનિટથી વધારે પાણી આવી રહ્યું નથી. હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ડાઇવર્ટ કરાઈ રહ્યું છેકારેલીબાગમાં નવા બનેલી હાઇરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ કારેલીબાગ ટાંકીથી આડેધડ કનેક્શન અપાઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે રહેણાક વિસ્તારમાં પાણી ઓછું મળે છે. બિલ્ડરોના ઇશારે અને કાઉન્સિલરોની ભલામણથી અધિકારીઓ સોસાયટી વિસ્તારનો વિચાર કર્યા વિના જોડાણ આપી રહ્યાં છે.
વિમાનોના એન્જિનના ટર્બાઇનનાં પાંખિયાઓની ફરતે નિકલ કે ટાઇટેનિયમની સુપર એલોયમાંથી બનેલી હનીકોમ્બ રિંગનું ઉત્પાદન વડોદરામાં શરૂ થયું છે.વિમાની એન્જિન બનાવતા જનરલ ઇલેક્ટ્રિક (જીઈ)ના એક ઓર્ડર બાદ ભારત સરકારની વિમાની કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે (HAL) હનીકોમ્બ માટે વાતચીત શરૂ કરી છે. અત્યાર સુધી હનીકોમ્બ અમેરિકાની 2 કંપની અને યુકેની 1 કંપની બનાવતી હતી. હવે USA-UKનો એકાધિકાર પૂરો થયો છે. વડોદરાની મકરપુરા જીઆઇડીસીની કંપની હવે ભારતની પ્રથમ ઉત્પાદક કંપની બની છે. વડોદરામાં નિર્મિત હનીકોમ્બની રિંગ બનાવીને ભારેખમ મેટલ પર વિશેષ પ્રકારની બ્રિઝિંગ (વેલ્ડિંગ નહીં) ટેક્નિકથી સજ્જડ ચોંટાડવામાં આવે છે. વિમાનના એન્જિન જ્યારે ટોપ સ્પીડે ધમધમે છે ત્યારે પાંખિયાઓની લંબાઇમાં સહેજ વધારો થાય છે. પાંખિયા અને વિમાનના મુખ્ય માળખા વચ્ચે હનીકોમ્બ રિંગ એક સંરક્ષણ દીવાલ તરીકે ઉપયોગી થાય છે. આ હનીકોમ્બ રિંગો હળવા વજન અને લોખંડથી 20 ગણી મજબૂતીથી મોટી વિમાની કંપનીની પહેલી પસંદગી બની છે. એક વિમાનના 2 સેક્શનમાં 4 રિંગની જરૂરવિમાનના એન્જિનના 3 પૈકી 2 સેક્શનમાં હનીકોમ્બ રિંગની જરૂર પડે છે. એક રિંગ 1 મીટર લાંબી અને 20 સેમી પહોળી હોય છે. જોકે વિમાનોના એન્જિનની સાઇઝ મુજબ તેનાં માપ અલગ હોય છે. એક હનીકોમ્બના ટચૂકડા સેલ (ખાના)માં વિભાજિત હોય છે. સેલની એક બાજુનું માપ 0.75 એમએમ જેટલું હોય છે. વિમાની કંપની TASLએ બરોડિયન હનીકોમ્બની ગુણવત્તાનું ઓડિટ શરૂ કર્યુંતાજેતરમાં કંપનીએ બેંગ્લોરમાં વિમાની પૂર્જાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કંપનીના માલિક મહેશ પટેલ કહે છે કે, વડોદરામાં ટાટાની જે એરોપ્લેન ફેસિલિટી છે, તેમાં પણ હનીકોમ્બની જરૂર છે. ટાટાએ રસ દાખવ્યો છે. તેમની ટીમે કંપનીમાં આવી સુવિધાનું ઓડિટ શરૂ કર્યું છે.
વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કરેલ “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખા મોબાઇલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતુ. “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે. “સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની એક્ઝિબીશન બસનું આજે રવિવારે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન થયું. આ ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજ, જ્ઞાનમંજરી સંસ્થાઓના શિલ્પી મનસુખભાઈ નાકરાણી, જ્ઞાનમંજરી યુનિવર્સિટીના સીઈઓ એચ એમ નિમ્બાર્ક દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલપતિએ વિજ્ઞાન ગુર્જરી અને ઈસરો દ્વારા શરૂ થયેલ પહેલથી ગુજરાત અંતરિયાળ ગામો અને વિવિધ શહેરોના વિદ્યાર્થીઓમાં ભારતીય વિજ્ઞાન વિષે રુચિ જાગશે એવું જણાવ્યું હતુ. આ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાથીઓના હિત માટે થતા કાર્યોને બિરદાવેલ. તેથી આ મોબાઇલ પ્રદર્શન બસો ઉપર પ્રમાણેની તારીખો અને શાળાઓમાં ભાવનગરના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી જાહેર જનતાને અપીલ છે. આ પ્રસાંગે મનસુખભાઇ નાકરાણીએ વિજ્ઞાનગુર્જરી (વિજ્ઞાનભારતી) દ્વારા ઇસરોના સહયોગથી અયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ પ્રદર્શનીની પ્રસંશા કરી આવતી કાલના ભવિષ્યના નાગરિકોને ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે જેડા દ્વારા જે પ્રયત્ન કરવામાં આવેલ છે તે હાલના સમયની એક જરૂરિયાત છે. એચ એમ નિમ્બાર્ક જણાવેલ કે આગામી દિવસોમાં તારીખ 12 અને 13 તારીખે 10 થી 5 ક્લાક સુધી વિજ્ઞાનગુર્જરી દ્વારા આ બસોનું પ્રદર્શન જ્ઞાનગુરુ વિદ્યાપીઠ તથા કેપીએસ હાઇસ્કુલ ખાતે પણ યોજાઇ રહેલ છે તો ભાવનગરના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ પ્રદર્શનની અવશ્ય અચૂકપણે મુલાકાત લેવી જોઈએ. મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિશુલ્ક રહેશે. આ બાબતે કોઈ પણ માહિતી માટે ડો. આસ્તિક ધાંધીયાનો મો.નં. 9824300647 તથા જિલ્લા સંયોજક પ્રો. મુંજાલ ભટ્ટનો મો.નં. 07048108208 પર સંપર્ક કરવો.
ઝળહળતી સિદ્ધિ:ટીમાણા ગામની શાળા બાળકોની રમત ગમત ક્ષેત્રે રાજ્યમાં સિદ્ધિ
ગણેશ શાળા - ટીમાણાના બાળકોએ રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે અને શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેળવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ખેલ મહાકુંભ 2026 અંતર્ગત પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર 14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા - ટીમાણામાં અભ્યાસ કરતા બારૈયા હેત મેહુલભાઈ (ગામ રોયલ)એ 57 કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પંડ્યા બદ્રી ચિરાગભાઈ (ટીમાણા)એ 44 કિગ્રા વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાએ રમત ગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન થકી ગણેશ શાળા - ટીમાણાના આ બંને બાળકોએ ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું હતું. રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાને રમત ગમત ક્ષેત્રે ઉત્તમ સિધ્ધિઓ પ્રદાન કરનાર બંને બાળકોને તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક પ્રવિણભાઈ પંડ્યા તથા શિક્ષક નિલેશભાઈ બાંભણિયાને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગોઝારો અકસ્માત:અકસ્માતમાં વલભીપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
નારી ચોકડીથી ધોલેરા હાઈવે પર માઢીયા નજીક મોટરસાઇકલ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં વલભીપુરના ભાજપ અગ્રણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધોલેરા હાઇવે પર મહાવીર સોલ્ટ પાસે બેફામ સ્પીડે આવતા કાળમુખા ટેન્કર ચાલકે મોટરસાઇકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં વલભીપુર ગામના વતની અને વલભીપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ સુરેશભાઈ મેણીયાનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ અકસ્માત નો ભોગ બનેલા વનરાજભાઈ મેણીયા કડીયા કામ સાથે સંકળાયેલા હતા અને તેઓ પોતાના સંતાનો ને સારા શિક્ષણ સાથે ઉચ્ચ કારકિર્દી બને તેવા હેતુથી ભાવનગર ખાતે વસવાટ કરતા અને નિયમિત રીતે ભાવનગર થી વલભીપુર અપડાઉન કરતા હતા અલબત્ત કુદરતની કંઈક અલગ જ ગણતરી હશે કારણ કે તેની દિકરી થોડા સમય પહેલા જ ક્લાસ ટુ ઓફિસર તરીકે મામલતદાર તરીકે પસંદગી થઈ હતી અને હાલ કપડવંજ ખાતે ફરજ બજાવે છે આ અકસ્માત પણ વિચિત્ર રીતે સર્જાયો હોવાનું જણાય છે કારણકે ટેન્કર અને મોટરસાઇકલ એક જ દિશામાં જતા હતા અને મોટરસાઇકલ ટેન્કરની નીચે ઘણી જ ઉંડાઈ સુધી ઘુસી ગયુ હતુ
છેતરપિંડી:ટ્રકમાંથી કાચ સેરવી લઇ રૂા.2.25 લાખની છેતરપિંડી
ભાવનગર અને મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટમાં ટ્રક રાખી ચલાવતા ટ્રાન્સપોર્ટરનો એક ટ્રક અમદાવાદના દસક્રોઇથી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ટ્રકમાં સીલીકેટ ગ્લાસ કાચ 36.600 કિ.ગ્રામ ભરીને ડ્રાઇવર નિકળ્યો હતો. જે બાદ ભાવનગરની નારી ચોકડી પાસે આવેલ મધુસિલીકા કંપનીમાં ખાલી કરવા ગયા હતા જ્યાં 12.500 કિ.ગ્રા કાચની ઘટ આવતા ટ્રકના માલિકે તપાસ કરતા તેમની કંપનીમાં રહેલા મહેતાજી (કારકુન) એ ભાવનગરના સીદસર નજીક 12.500 કિલોગ્રામ કાચ સેરવી લઇ, ટ્રક માલિક સાથે રૂા. 2.25 લાખની છેતરપિંડી આચરતા ટ્રક માલિકે કંપનીના મહેતાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના નારેશ્વર સોસાયટી ચિત્રા ખાતે રહેતા અને ભાવનગર નારી ચોકડી નજીક વાઘેશ્વરી રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા કિશોરસિંહ અણદુભા વાઘેલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મહેસાણાના કડી ખાતે રાજમોતી ટ્રાન્સપોર્ટમાં તેમના ટ્રકો ચાલે છે. જે ટ્રક નં. GJ 12 AZ 9576માં દસક્રોઇમાં આવેલી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સીલીકેટ ગ્લાસ કાચ 36.600 કિલોગ્રામ ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને ટ્રકમાં નિલેશભાઇ નામના ડ્રાઇવર આ ટ્રક લઇને ભાવનગર મધુસિલીકા કંપનીમાં ખાલી કરવા માટે આવ્યો હતો. જે બાદ ટ્રક મધુસિલીકા કંપનીના વજન કાંટા ઉપર વજન કરવામાં આવતા 12.500 કિલોગ્રામની ઘટ આવતા ટ્રક માલિકને જાણ કરાઇ હતી. ટ્રક માલિકે તપાસ હાથ ધરતા તેમની સાથે રૂા. 2.25 લાખની છેતરપિંડી થયાની જાણ થતાં ટ્રક માલિકે તેમની કંપનીમાં મહેતાજીનું કામ કરતો કુલદિપસિંહ જાડેજા (રહે. કર્મચારી નગર, ફુલસર, ભાવનગર) વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વરતેજ -સિદસર નજીક અવાવરૂ જમીનમાં ટ્રકમાંથી સેકડો કિલો કાચ ખાલી કરી દિધોકંપનીમાં મહેતાજીનું કામ કરતો કુલદિપસિંહ જાડેજાએ ટ્રકના ડ્રાઇવરને ટ્રક નારી ચોકડી નજીક મુકીને જતું રહેવાનું કિધું હતું. જે બાદ કુલદિપસિંહ જાડેજાએ ટ્રકને વરતેજ સિદસર ખાતે લઇ જઇ, અવાવરૂ જમીનમાં 12.500 કિલોગ્રામ, કિ.રૂા. 2.25 લાખનો કાચ ટ્રકમાંથી સેરવી લઇ ટ્રક માલિક સાથે છેતરપિંડી આચર્યાની કુલદિપસિંહ જાડેજાએ ટ્રક માલિક સમક્ષ કબૂલાત આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... મહિલા IAS અધિકારીએ નવી ઓફીસમાં વાસ્તુશાસ્ત્રીઓની ટીમ બોલાવી,ITના સેટઅપ માટે પતિની મદદ લીધી31 ડીસેમ્બરે સરકારે સિનિયર આઈએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા હતા. જેમાં અમુક અધિકારીઓની જાણે હકાલપટ્ટી કરાઈ હોય તેવુ લાગતુ હતુ. આવા જ એક મહિલા અધિકારીએ તો બદલી બાદ તુરંત જ ચાર્જ છોડી દીધો હતો અને નવી જગ્યાનો હવાલો સંભાળી લીધો હતો. તેઓએ પોતાની ઓફિસમાં વાસ્તુશાસ્ત્ર મુજબ ગાઠવણ કરવા માટે વાસ્તુશાસ્ત્રીઓની ટીમને કામે લગાડી છે. ગત અઠવાડીયા દરમિયાન આ ટીમ બે વખત આવી હતી. બીજી બાજુ આ મહિલા અધિકારીએ પોતાની ઓફીસના ઈન્ટરનેટના તેમજ વીડિયો કોન્ફરન્સ,વાઈફાઈ વગેરેની ગોઠવણ માટે પોતાના આઈએએસ પતિદેવની મદદ લીધી હતી. પતિદેવે આઈટીની ટીમને પોતાને ત્યાંથી મોકલીને પત્નીની ઓફિસનુ સેટઅપ કરાવી દીધુ હતુ. IPS અધિકારીઓને પ્રમોશન બાદ હવે બદલીની તૈયારીગુજરાતમાં ફરજ બજાવનારા IPS અધિકારીઓના પ્રમોશન રાજ્ય સરકારે કર્યા છે ત્યારે હવે ચાલુ મહિનામાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી ચર્ચા જાગી છે. 3 વર્ષથી એક જ જગ્યાએ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને તમામ રેન્જ આઈ.જી ઓની બદલીઓ થઈ શકે છે જેમાં બોર્ડર રેન્જ અને દક્ષિણ ગુજરાતની રેન્જ મેળવવા માટે થઈને કેટલાક અધિકારીઓએ લોબિંગ કર્યું હોવાની ચર્ચા છે. ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓની સાથે કેટલાક આઇએએસ અધિકારીઓની પણ બદલી થઈ શકે છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે બદલીઓ થશે જેથી રાજકીય નેતાઓના શરણે કેટલાક આઈપીએસ અને આઈએએસ પહોંચ્યા હોવાની ચર્ચા છે. હવે IAS-IPS અધિકારી અને MLA-MP સહિતના નેતાઓમાં હેર ટ્રાન્સપ્લાન્ટનો ક્રેઝગુજરાતના આઈએએસ અધિકારીઓ અને રાજકીય નેતાઓમાં હવે હેર ટ્રાન્સપ્લાટનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને 45ની ઉંમર પાર કરી ગયેલા આ મહાનુભાવોને હવે પોતાના માથે વધુ વાળ ઉગાડવાની ઈચ્છા જાગી છે. સરકારની વિવિધ જવાબદારી અને સ્ટ્રેસને કારણે અનેક વ્યક્તિઓને અકાળે વૃધ્ધત્વ આવી ગયુ હોય એવુ લાગે છે. સરકાર અને સંગઠનમાં જવાબદારી સંભાળતા સંભાળતા હવે પોતાના માથે વાળ પણ રહ્યા નથી. જેને કારણે અનેક યુવાન જેવા દેખાતા લોકો આધેડ અને વૃધ્ધ જેવા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ નિવારવા માટે છેલ્લા એક વર્ષ દરમિયાન જ કેટલાક IAS અને IPS અધિકારીઓ ઉપરાંત અમુક ધારસભ્ય-સાંસદ અને રાજકીય નેતાઓએ હેર ટ્રાન્સપ્લાન્ટનો આશરો લીધો છે. તેઓ પોતાના મિત્રો સાથે વાતચીત કરે ત્યારે હળવા સ્વરમાં કહે છે કે, હવે અમારા માથે માત્ર દેખાવ પુરતા જ વાળ રહ્યા છે. અમારી ઉંમર કરતા અમે 10 વર્ષ વધુ મોટા દેખાઈએ છીએ. જો કે, એ વાત પણ નિશ્ચિત છે કે, નેતાઓને તો ઉંમર સાથે કોઈ ફરક પડવાનો નથી પરંતુ અધિકારીઓને તો તેમના માથામાં મોટા અને કાળા વાળ હશે તો પણ 60 પૂરા થાય એટલે વય નિવત્ત થવાનુ નિશ્ચિત જ છે. વડોદરા ભાજપના ધારાસભ્યોએ કયા નેતાના ઈશારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી?ભાજપના વડોદરાના ભાજપના ચાર ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં કલેકટર-કમિશનર સહિતના આઈએએસ અધિકારીઓ લોકોના કામો કરતા નથી. અમારુ પણ સાંભળતા નથી. સરકારી કચેરીઓમાંથી કામ કઢાવવુ એ કોમનમેન માટે યુધ્ધ લડવા સમાન છે. કલેક્ટર ઉપરાંત ડીડીઓ,ડીએસપી અને પોલીસ કમિશનર પ્રજા અને જનપ્રતિનિધિનુ પણ સાંભળતા નથી.આ અગાઉ પણ 2018 અને 2022માં પણ આ રીતે રજૂઆતો થઈ હતી. મંત્રીમંડળમાં વડોદરાના મનીષાબેન વકીલ એક માત્ર ધારાસભ્યને લેવાયા હોવાથી વડોદરાના રાજકીય નેતાઓમાં આક્રોશ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ભાજપના જ કોઈ મોટા નેતાના ઈશારે આ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રીને અપાઈ છે. મુખ્યમંત્રીની ઈમેજને ધક્કો પહોંચાડવા માટે આ પ્રકારની ગતિવિધિ શરુ કરાઈ હોવાની પણ ચર્ચા છે. ઉપરાંત આગામી સમયમાં કેટલાક બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂકો થવાની છે. જેથી હાલમાં હાઈકમાન્ડ પર દબાણ લાવીને બોર્ડ નિગમોમાં સ્થાન મેળવવાની યોજના પણ છે. IAS કેડરમાં પેઢી બદલાઈ રહી છેગુજરાતના વહીવટી તંત્રમાં આ વર્ષ થોડું અલગ છે. એક જ વર્ષમાં 22 IAS અધિકારીઓ સેવા પૂર્ણ કરી રહ્યા છે. ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે આમાંથી સીધી UPSC ભરતીના માત્ર એક જ અધિકારી નિવૃત્ત થવાના છે – હાલના ચીફ સેક્રેટરી એમ.કે. દાસ. એક સમય એવો હતો જ્યારે દર વર્ષે દસથી પંદર સીધી ભરતીના IAS નિવૃત્ત થતા. હવે એ ટ્રેન્ડ તૂટ્યો છે. આજે જે નિવૃત્તિઓ છે તે મોટેભાગે GASમાંથી ઉપર આવેલા અધિકારીઓની છે. એટલે કહી શકાય કે સચિવાલયમાં એક આખી પેઢી શાંતિથી પડદો પાડતી જાય છે. આ વર્ષે નિવૃત્ત થનારા મોટાભાગના અધિકારીઓ એવા છે જેમણે વર્ષો સુધી GAS કેડરમાં કામ કરી પછી IASનો બેજ મેળવ્યો હતો.આ અધિકારીઓએ કલેક્ટરથી લઈને સચિવાલય સુધીની જવાબદારીઓ સંભાળી, પરંતુ હવે એક પછી એક તેઓ બહાર જઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં નિર્ણય પ્રક્રિયામાં યુવાન અને સીધી ભરતીના IAS અધિકારીઓનું વજન વધશે, એવી ચર્ચા સચિવાલયના કોરિડોરમાં સંભળાય છે. પ્રમુખ માટે મહેનત કરી છે તો ક્યાંક તો સ્થાન મળવાની આશાગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની આગળ પાછળ ફરનારા અને જવાબદારી નિભાવી ચૂકેલા એક નેતા હવે આજકાલ ગીતો ગાવામાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રદેશ સંગઠનમાં સ્થાન મળી જશે એવા કોન્ફિડન્સ સાથે ફરતા આ નેતા સૌરાષ્ટ્રમાં બધા નેતાઓની આગળ પાછળ ફરતા જોવા મળે છે. કાર્યક્રમમાં જઈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં રિલ્સ મુકતા થઈ ગયા છે. ભાજપ પ્રદેશ સંગઠનમાં સ્થાન મળશે એવી એમને ખૂબ આશા હતી પરંતુ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે જોકે હજી તેઓને આશા જીવંત છે કે ક્યાંક ને ક્યાંક તો તેમને નાનો હોદ્દો આપીને પ્રમુખ માટે આટલી મહેનત કરી છે તો તેનું નાનું ફળ તો મને ક્યાંક ચોક્કસ આપી શકે છે. જેથી કાર્યક્રમોમાં ફરી નેતાઓને આગળ પાછળ ફરતા જોવા મળ્યા છે. પ્રદેશ મહામંત્રીનું જેમને સ્થાન મળ્યું છે એમના કરતાં આગળ પોતે ફરતા જોવા મળે છે જોકે હવે તો કાર્યક્રમ ના હોય ત્યારે નવરા બેઠા ગીતોમાં સારો એવો સૂર પુરાવી રહ્યા છે. PMના બંદોબસ્ત સમયે ધારાસભ્ય અને IPS અધિકારી વચ્ચે રકઝકવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 11 જાન્યુઆરીના રોજ સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા ત્યાંથી સીધા ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો લીલી ઝંડી આપવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાનને આવકારવા અને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિતના લોકો પણ સાંજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા વડાપ્રધાનના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને લોકોને ઊભા રહેવા માટે સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ભાજપના એક ધારાસભ્ય રેલીંગ બહાર ઊભેલા હતા. જેથી પોલીસ બંદોબસ્તમાં હાજર એક IPS અધિકારીએ ધારાસભ્યને રેલીંગ અંદર જવાનું કહેતા ધક્કામુક્કી થઈ હતી. ધારાસભ્ય અને એસપી વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી. અંતે LCB અધિકારીઓ દ્વારા ધારાસભ્યને સ્થળ પરથી દૂર કર્યા હતા. ધારાસભ્ય BJP અને એસપી વચ્ચે થયેલી બોલાચાલી હાજર નેતાઓ - કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની હતી. પાણી બચતનો મુદ્દો ફરી ફાઈલમાં ચગ્યોગુજરાતમાં પાણીની માગ દર વર્ષે વધી રહી છે, પરંતુ પાંચ વર્ષ પહેલા બનેલી વોટર રિસાયકલ નીતિ જમીન પર દેખાઈ નહીં. હવે સરકાર ફરીથી એ ફાઈલ ધૂળમાંથી બહાર કાઢી રહી છે. આ વખતની ચર્ચા કડક છે – ઉદ્યોગો, મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટ, નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓમાં રિસાયકલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાની તૈયારી છે. આ પહેલા પાણી પુરવઠાની જવાબદારી એક જ વિભાગ પાસે હતી, હવે અર્બન ડેવલપમેન્ટ વિભાગને પણ સીધો રોલ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રોજ હજારો મિલિયન લીટર ગંદું પાણી સાફ થાય છે, પણ મોટાભાગનું પાણી ફરી ઉપયોગમાં આવતું નથી. ખર્ચ થાય છે, લાભ નથી – અને સરકાર હવે આ ગણિત બદલી દેવા માંગે છે. BSF માટે ગુજરાત તરફ નજરદિલ્હીમાં ચાલી રહેલી ચર્ચાઓમાં એક નામ વારંવાર સામે આવે છે, અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક BSFના વડાની ખુરશી ખાલી થતાં કેન્દ્ર સરકાર યોગ્ય અને અનુભવી અધિકારી શોધી રહી છે. મલિક અગાઉ સરહદી દળમાં ફરજ બજાવી ચૂક્યા છે અને બેચ સિનિયોરિટીમાં પણ આગળ છે. જો આ પસંદગી થાય, તો અમદાવાદમાં પણ વહીવટી ચક્ર ફરી વળશે. શમશેરસિંહઃ હાજર તો છે, પણ પોસ્ટિંગ નહીંદિલ્હીથી પરત આવેલા સિનિયર IPS શમશેરસિંહ રાજ્યમાં હાજર છે, પરંતુ પોસ્ટિંગ વગર. નિવૃત્તિ નજીક છે, છતાં હજુ કોઈ સ્પષ્ટ જવાબદારી સોંપાઈ નથી. પોલીસ વિભાગની બહાર તેમને ટૂંકા ગાળાનો હવાલો મળે કે નહીં એ મુદ્દે અલગ-અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરોની બદલી હવે સમયની રાહેમતદાર યાદી સુધારણાનું કામ પૂરું થતાં જ કલેક્ટરોની બદલીઓ આવશે એવું લાગી રહ્યું છે.કેટલાક જિલ્લાઓમાં તો ખુરશી ખાલી થવી નિશ્ચિત છે ક્યાંક પ્રમોશન, ક્યાંક નિવૃત્તિ. એટલે ફેબ્રુઆરીના અંતમાં ફરી એક વખત ટ્રાન્સફર લિસ્ટ ચર્ચામાં રહેશે. માર્ગ-મકાન વિભાગના સેક્રેટરીપદેથી પટેલીયા નિવૃત્ત થશે, કોને મુકવા તે પ્રશ્ન સરકાર માટે માથાનો દુઃખાવોઆગામી માર્ચ મહિનામાં માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પ્રભાત પટેલીયા વય નિવૃત્ત થવાના છે. આ પોસ્ટ સંપૂર્ણ ટેકનિકલ છે. જેથી કોઈ આઈએએસ અધિકારીની અહીં નિમણૂક કરાતી નથી. હવે સ્થિતિ એવી છે કે, આ જગ્યા પર નિમણૂક કરવા માટેની લાયકાત ધરાવતા અધિકારીઓની સંખ્યા હવે આંગણીને વેઢે ગણાઈ એટલી જ છે. જેથી સરકાર માટે નવી નિમણૂકનો પ્રશ્ન હવે માથાનો દુઃખાવો બની ગયો છે. સરકાર આ વખતે કોઈ આઈએએસ અધિકારીને આ જગ્યા પર મુકીને નવો પ્રયોગ કરવા માગે છે. જેને લઈને ચર્ચા છે કે, આ જગ્યા ટેકનિકલ હોવાથી આવો નિર્ણય સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવુ થશે. કેમકે તેઓ પ્રેક્ટિકલી નિર્ણય લઈ શકતા નથી જ્યારે ચીફ એન્જીનિયર ગમે તેમ કરીને ફોલોઅપ કરાવી શકતા હોય છે. જ્યારે આઈએએસ અધિકારીઓ જવાબદારી લેતા નથી. આ પોસ્ટ પર નિમણૂક માટે ચીફ એન્જીનિયર તરીકેનો જરૂરી અનુભવ હોય એવા એન્જીનીયરો પણ નથી. જેને લઈને ચર્ચા એવી છે કે, સરકાર કદાચ નિવૃત્ત થઈ રહેલા પટેલીયાને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, અગાઉના નિવૃત્ત થયેલા એ.કે. પટેલને ફરીથી કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ શકાય છે. જો કે, આ જ રીતે આ પોસ્ટ પર લાંબો સમય ફરજ બજાવનારા સંદીપ વસાવાનુ નામ પણ બોલાઈ રહ્યુ છે. હવે સરકાર કોના પર પસંદગી ઉતારે છે તે જોવાનુ રસપ્રદ બનશે. મુખ્યમંત્રીએ જૂદા જૂદા વિભાગોના અધિકારીઓ પાસેથી મંજૂર થયેલા કામના હિસાબનો રિપોર્ટ માગ્યોગુજરાત સરકારના મોટાભાગના ડીપાર્ટમેન્ટોમાં છેલ્લા પાંચેક વર્ષથી કામોની તેમજ પ્રોજેક્ટોની ગતિ ધીમી પડી ગઈ છે. ખાસ કરીને પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારના બે વર્ષના સમયગાળા દરમિયાન વહીવટી તંત્ર ખાડે ગયુ હતુ. તમામ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની શંકા રાખીને રાજકુમાર એ પ્રકારનુ વર્તન કરતા હોવાથી કોઈ અધિકારી કશુ કરવા માગતા નહોતા.જેને કારણે વહીવટી અસ્થિરતા આવી ગઈ હતી. હવે મંદ પડેલા કામોમાં ગતિ આવવાનુ શરુ થયુ છે. બીજી બાજુ, મુખ્યમંત્રીએ પણ અધુરા અને લટકતા કામો ખુબ જ ઝડપથી થાય તે માટેના પ્રયાસો શરુ કર્યા છે.મુખ્યમંત્રીએ તમામ વિભાગોના વડા પાસેથી નવા-જૂના કામોનો હિસાબ માગવાનુ શરુ કર્યુ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મંજૂર થયેલા અને અમલીકરણના તબક્કાના કામોનો રિપોર્ટ રજૂ કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ઉપરાંત ચાલુ વર્ષના બજેટમાં અધુરાં રહેલા કામોની વિગતો પણ માગવામાં આવી છે.ખાસ કરીને જમીન મહેસૂલની સમસ્યાઓ, ઉદ્યોગોનું વિસ્તરણ, વધતો જતો ટ્રાફિક, માર્ગો-પુલોનું નવીનીકરણ, હવા-પાણી પ્રદૂષણ સહિતના મુદ્દાઓની ચર્ચા કરાઈ છે. વિભાગના અધિકારી અને મંત્રી વચ્ચે સંકલન તેમજ ગુણવત્તાયુક્ત કામો કરવાની સૂચનાઓ અપાઇ છે. આગામી ફેબ્રુઆરીમાં 2026-27ના વર્ષનું બજેટ રજૂ થવાનુ હોવાથી અધુરાં કામોને ઝડપથી પુરા કરવા અધિકારીઓને એક્શન પ્લાન બનાવવા કહેવાયું છે. પ્રભારી સાથેની બેઠક પૂરી થાય તે પહેલા જ ધારાસભ્ય નીકળી ગયા!રાજ્યના કેબિનેટ મંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેની સંકલન બેઠક લેવા માટે આવ્યા હતા. જે પણ વિધાનસભા અને વોર્ડ મુજબ ધારાસભ્યો અને બોલાવવામાં આવ્યા અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. જેમાં એક ધારાસભ્ય ચાલુ મિટિંગમાં ચૂપકેથી બીજા દરવાજેથી નીકળી ગયા હતા. બીજા ઝોનની મીટીંગોમાં હાજર રહ્યા પોતાના ઝોનની મીટીંગ ચાલુ થઈ તો અડધી મીટીંગ છોડીને નીકળી ગયા હતા. જોકે ચર્ચા એવી જાગી છે કે વિધાનસભા અને વોર્ડની ચર્ચા ચાલી રહી હતી અને તે દરમિયાનમાં ધારાસભ્ય વચ્ચે બોલ્યા અને તેઓ નીકળી ગયા હતા. AMCએ બગીચા ખાતા માટે ઈજનેરની જાહેરાત આપી દીધીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓએ કરેલા અણઘડ આયોજનના કારણે કોર્પોરેશનને નીચું જોવાનું વારો આવે અથવા તો આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તાજેતરમાં જ ઇજનેર વિભાગની ભરતી બહાર પાડવામાં આવી છે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી છે જેમાં ઇજનેર ખાતામાં ભરતી કરવાની હોય એની જગ્યાએ બગીચા ખાતામાં એન્જિનિયરોની ભરતી એવું લખીને જાહેરાત આપવામાં આવી હતી. અખબારમાં જાહેરાત છપાયા બાદ ધ્યાનમાં આવતા તાત્કાલિક બીજા દિવસે સુધારા સાથેની જાહેરાત આપવી પડી હતી. હવે ચર્ચા એવી જાગી છે કે જે આ જાહેરાત આપવાનું કામ કરે છે એવા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી એટલું નથી ખબર હોતી કે એન્જિનિયરો બગીચા ખાતામાં હોય કે ઇજનેર ખાતામાં જોયા વિના જ જાહેરાત આપી દે છે. પોલીસ સ્ટેશનમાં માનીતા PIના પોસ્ટિંગ માટે ધારાસભ્યોનું લોબિંગ અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં આવનારા પોલીસ સ્ટેશનમાં પીઆઇની ખાલી જગ્યાઓને ભરવા માટે થઈને કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોનું લોબીંગ થયું હોવાની ચર્ચા છે. ભાજપના ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પોતાના માનીતા પોલીસવાળા આવે તેના માટે રજૂઆત કરતા હોય છે જેને લઈને પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર ખાલી પડેલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ માટે લોબીંગ કરવામાં આવ્યું છે. ભાજપના એક ધારાસભ્યના મતવિસ્તારમાં પોલીસ સ્ટેશન મલાઈદાર છે જેથી ત્યાં પણ પોતાના માનીતા પીઆઈને મુકવા માટે નામ આપ્યું છે જ્યારે એક પોલીસ સ્ટેશનમાં ક્યાં પીઆઇ મુકાવવા એની શોધખોળ કરવામાં આવી રહી છે.
જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ભારત મુલાકાત માટે રવિવારે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મેર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાન્સેલર માટે હોટલ દ્વારા ગુજરાતની ઓળખ એવી અડાલજની વાવ, સીદી સૈયદની જાળી અને વડનગર તોરણ આકારની ચોકલેટ તૈયાર કરવામાં આવી હતી. ગુજરાતના મહેમાન બનેલા ફ્રેડરિક મેર્ઝે અંજીર રાજગરા પેંડા, તલ-જુવાર પાક, મલ્ટી બાજરી બ્રાઉની, બાજરી કુકીઝ સહિત ગુજરાત વાનગીઓની મજા માણી હતી. ફ્રેડરિક મેર્ઝ આજે સવારે 9 વાગ્યે PM મોદી સાથે ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે બેઠક યોજાશે. ITC નર્મદા હોટેલમાં જર્મન ચાન્સેલરનું ભવ્ય સ્વાગત કરાયુંઅમદાવાદના મહેમાન બનેલા જર્મનીના ચાન્સેલ ફ્રેડરિક મેર્ઝ રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં ITC નર્મદા હોટલમાં ચાન્સેલરનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. હોટલ દ્વારા ગુજરાતની ઓળખ સમાન સીદી સૈયદની જાળી, અડાલજની વાવ અને વડનગર તોરણ આકારની ચોકલેટ તૈયાર કરી હતી. આ ઉપરાંત, ચાન્સેલરને પૌષ્ટિક બાજરી આધારિત સ્વાદિષ્ટ વાનગીઓની ખાસ ક્યુરેટેડ થાળી પણ પીરસવામાં આવી હતી, જેમાં અંજીર રાજગરા પેડા, તલ અને જુવાર પાક, કોળાના બીજ અને મલ્ટી-બાજરી બ્રાઉની, રાગી બાજરી કેળાના વોલનટ કેક, ખુબાની રમઝાના લાડુ અને પફ્ડ અમરાંથ બાજરી કૂકીઝનો સમાવેશ થાય છે. જર્મન ચાન્સેલર પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાત કરશેગુજરાતના મહેમાન બનેલા જર્મનની ચાન્સેલર ફ્રેડરીક મેર્ઝ આજે સવારે 9 વાગ્યે પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે બેઠક યોજાશે. જેમાં જર્મની અને ભારત વચ્ચેની ભાગીદારીને લઈ મહત્વની ચર્ચા થઈ શકે છે. PMએ રવિવારે સોમનાથ, રાજકોટ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ સવારે સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં ભાગ લીધો. ત્યાર બાદ બપોરે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા અદાણી ગ્રુપે 5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાંથી આવીને સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મેટ્રો સ્ટેશન અને ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
હેરિટેજ શહેર અમદાવાદની ઓળખ એક સમયે પોળની હતી, હવે હાઇરાઇઝ બિલ્ડિંગ બની રહી છે. અમદાવાદના રિયલ એસ્ટેટ આટલા વર્ષોમાં ઘણું જ બદલાયું છે. અમદાવાદમાં હવે વર્લ્ડ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ કે પર્ફોર્મન્સ યોજાઈ રહ્યા છે. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે દુનિયાના દેશોને ટક્કર મારે તેવું બની રહ્યું છે. દિવ્યભાસ્કરમાં આજથી શરૂ થતી સિરીઝ 'સ્કાયલાઇનર્સ'માં અમદાવાદના અગ્રણી બિલ્ડર્સની કહાનીની વાત કરીશું. રિયલ એસ્ટેટમાં કેવા કેવા પડકારોનો સામનો કરવાથી લઈને અમદાવાદમાં કયા એરિયાના ભાવ વધારે સહિતની વાતો કરીશું. 'સ્કાયલાઇનર્સ'ના આજના પહેલા એપિસોડમાં અમે વાત કરીશું 20 વર્ષમાં 15થી વધુ પ્રોજેક્ટ્સ ડિલિવર્ડ કરનારા શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પારસ પંડિતની. પારસ પંડિતના સંઘર્ષની વાત પહેલી જ વાર સામે આવી રહી છે. 30 મીટરના ઘરમાં જન્મેલા પારસ પંડિત આજે તો કરોડોમાં આળોટે છે, પરંતુ તેની પાછળ કેવા કેવા સંઘર્ષો રહેલા છે, પિતાનું આકસ્મિક મોત ને માતાએ કાળી મજૂરી કરીને મોટા કર્યા, પારસ પંડિત આજે તો અમદાવાદમાં પ્રીમિયમ ને સુપર પ્રીમિયમ મકાનો બનાવી રહ્યા છે. પારસ પંડિતે રિયલ એસ્ટેટની અંદરની વાતો શું કહી? અમદાવાદમાં લક્ઝરી અપાર્ટમેન્ટમાં બાથરૂમ જ માત્ર 50 લાખનું હોય છે, રસોડું પણ મોંઘું બને છે. મેઘાણીનગરમાં મોટા થયાઅમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પંડિત પરિવારમાં બે દીકરા અને એક દીકરી શીતલ. પરિવારના વચલા દીકરા પારસભાઈ વાતની શરૂઆત કરતા કહે છે, 'આજની મારી લાઇફસ્ટાઇલ જોઈને કોઈને કદાચ વિશ્વાસ નહીં થાય કે મારો જન્મ સિવિલ હૉસ્પિટલમાં થયો છે અને હું 30 મીટરના ઘરમાં મોટો થયો છું. મેઘાણીનગરમાં બ્લોક નંબર 102ના રૂમ નંબર 2446ના ત્રીજા માળે પરિવાર સાથે રહેતો.' '1993નો તે કાળમુખો દિવસ જીવનભર પીડા આપશે'દુઃખ ને ભાવુક અવાજે પારસભાઈ જીવનના તે કમનસીબ દિવસને યાદ કરતા કહે છે, 'પપ્પા મેઘાણીનગરમાં ઉપાસક ગાયત્રી સોસાયટીમાં માત્ર બે પૈસાના ભાગીદાર હતા અને તેમણે 50 હજાર મૂડી લગાવી હતી. 23 ઓગસ્ટનો દિવસ હતો અને પપ્પા સાંજે સાઇટ પર મકાનોને પાણી છાંટતા હતા. સાત વાગ્યે અચાનક પાઇપમાંથી પાણી આવવાનું બંધ થઈ ગયું તો તેઓ બેઝમેન્ટમાં મોટર ચેક કરવા ગયા. ખબર નહીં અચાનક જ મોટરમાંથી કરંટ આવ્યો ને પપ્પા ત્યાં ને ત્યાં ગુજરી ગયા. આ દિવસ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ છે. પપ્પાના અવસાને મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. પરિવારમાં હું ને મારી બહેન ને માતા જ હતા. આ સમયે મારી ઉંમર 14 વર્ષની આસપાસ હતી. એ સમયે એ પણ ભાન નહોતું કે પપ્પા વગરનું પણ જીવન હોય. અમે તે સમયે કરેલા જીવનના સંઘર્ષને આજે તો હું શબ્દોમાં પરોવી શકું તેમ નથી. જ્યારે ઘરના મોભી ના હોય ને પરિવારમાં માત્ર ત્રણ લોકો હોય ત્યારે કેવી રીતે ગુજરાન ચલાવ્યું હશે તેની કલ્પના કરવી જ અશક્ય છે. અમારી પાસે એક ટંક ભોજનના પૈસા પણ નહોતા. આ સમયે કોઈ અમારી ખબર લેવા આવતું નહોતું કે તમે જમ્યા કે નહીં? શું કરો છો? કેવી રીતે ઘર ચાલે છે? સ્કૂલ-કોલેજની ફી ભરાઈ કે નહીં?' 'ભરત ગૂંથીને મમ્મીએ મોટાં કર્યાં'વાતને આગળ વધારતા પારસભાઈ જણાવે છે, ‘મમ્મી તે સમયે કંઈ વધુ ભણેલા નહોતા તો તેમણે ભરત ગૂંથણ કરીને અમને ભાઈ-બહેનને મોટા કર્યા ને ઘરનું ગુજરાન ચલાવ્યું. તેમણે ઘર ચલાવવા માટે કાળી મજૂરી કરી છે. હું એટલું ગર્વથી કહીશ કે મમ્મીએ નાના-નાના કામો કરીને અમને ભણાવ્યા પણ ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કરીને મદદ માગી નહીં. લોકો એવું માને છે કે હું ગોલ્ડન સ્પૂન બેબી છું, પરંતુ મારા જીવનની હકીકત માત્ર અમારા જૂના પાડોશીઓ ને મિત્રોને જ ખબર છે. હું આજે પણ 102 નંબરના બ્લોકમાં રહેતા લોકો સાથે સંપર્કમાં છું. તેમને ખ્યાલ છે કે હું ક્યાં હતો ને ક્યાંથી આવ્યો છું.’ '1997થી નાના-મોટા કામ કરવાની શરૂઆત કરી''1993-94-95માં દસમું, અગિયારમું ને બારમું પાસ કર્યું. મમ્મીએ મારા બસના પાસ ને ફી માટે દિવસ-રાત જોયા વગર કામ કર્યું. આખો આખો દિવસ કામ કરીને મને ભણાવ્યો. કોલેજ દરમિયાન મારામાં લીડરશિપના ગુણો વિકસ્યા. હું 1993થી રોજ સવારે થાળી ચમચી વગાડીને પ્રભાત ફેરીમાં જતો. તે સમયથી નક્કી હતું કે મારે જીવનમાં કંઈક તો કરવું જ છે. મક્કમ મનોબળે કારણે એવું હતું કે જીવનમાં હું ક્યારેય હાર તો નહીં જ માનું. 1997થી જ નાના-મોટા કામ કરીને કમાવવાનું ચાલુ કર્યું અને તેમાંથી થોડી થોડી બચત કરી.' 'ખિસ્સામાં બસ ભાડાના પૈસા નહોતા''વિદ્યાર્થીકાળમાં વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલો હતો અને તેમાં પુષ્કળ કામ કર્યું. એક દિવસ મને લાગ્યું કે આ રીતે તો મારું ઘર ક્યારેય ચાલશે નહીં. એકવાર એવું થયું કે વિદ્યાર્થી પરિષદના કાર્યાલયથી મારું ઘર 13 કિમી દૂર. ખિસ્સામાં બસ ભાડા જેટલા પણ રૂપિયા નહોતા. હું 13 કિમી પગપાળા ઘરે ગયો. એ દિવસે સોગંદ લીધા કે હવે હું તે કાર્યાલય પર ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે હું જીવનમાં કંઈક બની ન જાઉં.' 'ભૂકંપે રિયલ એસ્ટેટમાં લાવી દીધો'રિયલ એસ્ટેટની સફર કેવી રીતે શરૂ કરી તે અંગે વાત કરતા પારસભાઈએ જણાવ્યું, 'વર્ષ 2001ના અમદાવાદમાં ભૂકંપને અનુભવ્યો. ભૂકંપના ઝટકાએ અનેક જીવ લીધા અને અનેકો પરિવારને વેરવિખેર કરી નાખ્યા. ભૂકંપની કડવી યાદો આજે પણ આપણા મનમાં ક્યાંકને ક્યાંક છે. તે સમયે એવું લાગ્યું કે ક્યાંક ક્વૉલિટી સાથે સમાધાન થયું છે. આ સમયે વિચાર આવ્યો કે કેમ હું રિયલ એસ્ટેટ બિઝનેસમાં જઈને સારી ક્વૉલિટીના મકાન ના બનાવું? આ સપનું જોયું ને કામ કરવાનું શરૂ કર્યું. સાચું કહું તો એક સમયે મારી પાસે ખાવાના પૈસા નહોતા પણ મારા મનમાં ક્યાંક ઈચ્છા ધરબાયેલી હતી કે હું ભવિષ્યમાં ગમે ત્યારે પપ્પાનું બિલ્ડર બનવાનું સપનું તો જરૂરથી પૂરું કરીશ. 1993માં તેમણે જે સપનું જોયેલું તે હું ગર્વ સાથે કહી શકું છું કે શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ક્વૉલિટી કન્સ્ટ્રેડ કંપની તરીકે આગળ વધી રહી છે. પહેલાંના સમયે પ્લોટિંગ આપતા તો તે રીતે કામ કર્યું. વેદિકા વન સહિતના બે-ત્રણ વર્ષ આ રીતે પ્લોટિંગના ઘણા પ્રોજેક્ટ્સ કર્યા. 2008માં વેદિકા એક્ઝોટિકા કરીને ગાંધીનગરમાં પહેલો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. ગાંધીનગરમાં પીડીપીયુ રોડ પર સૌથી મોંઘા વીલા હતા. એક વીલા 50 લાખના એવા 72 બનાવ્યા. તે સમયે ગાંધીનગરમાં આટલા ભાવ ક્યાંય ચાલતા નહોતા અને મેં આટલો ભાવ રાખ્યો હતો.' 'બહેનની ઈચ્છાઓ પૂરી કરું છું'પારસભાઈને શીતલ નામ અંગે સવાલ કર્યો તો તેમણે તરત જ ચહેરા પર એક ચમક સાથે જણાવ્યું, 'મારી બહેનનું નામ શીતલ છે. બહેનની તમામ ઈચ્છા પૂરી કરવા મેં તેમના નામથી શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત કરી. આજ દિન સુધી હું હંમેશાં એ પ્રયાસ કરું છું કે મારી બેનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય. મજાની વાત એ છે કે શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લા 23 વર્ષમાં કોઈ પાર્ટનર નથી. મેં જ્યારે રિયલ એસ્ટેટમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે આજની જેમ ભાવ વધારે ને જમીન ઓછી એવું નહોતું. અમારા વખતે ઓછા પૈસે સારી એવી જમીન મળતી. મારી થોડી બચતમાંથી મેં જમીન ખરીદી અને આજે હું શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શક્યો. સમય જ રિયલ એસ્ટટની એબીસીડી ને બધું જ શીખવી દે છે.' 'આજના સમયે બિલ્ડર બનવું અઘરું'પારસભાઈને પૂછવામાં આવ્યું કે આજે જો બિલ્ડર તરીકે કામ કરવું હોય તો તે કરાય કે નહીં? જવાબમાં તેઓ થોડા ગંભીર થઈને કહે છે, 'હવે રિયલ એસ્ટેટમાં આવવું અઘરું છે. હવે જમીનોના ભાવ આસમાનને આંબે છે. આજે મકાન લેવું પણ અઘરું બનતું જાય છે ત્યારે બિલ્ડર બનવું ઘણું જ અઘરું છે. આ લાઇનમાં આવવું હોય તો પહેલા સારી કંપનીમાં જોડાઈને અનુભવ લેવો અને પછી પાર્ટનરશિપમાં શરૂ કરી શકાય, એકલા શરૂ કરવું હાલ તો મુશ્કેલ જ છે.' કયા કયા પ્રોજેક્ટ્સ ચાલે છે?હાલના પ્રોજેક્ટ્સ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, 'હાલમાં એક સાથે ઘણા પ્રોજેક્ટ્સ ચાલે છે. વૈષ્ણોદેવી પર ધરોહર 3-4 BHK પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 18-19 લાખ સ્ક્વેર ફૂટનો છે અને 22 માળના ટાવર સાથે 650 ફ્લેટ્સ બનશે. આ પ્રોજેક્ટ 800-900 કરોડનો છે. આ ઉપરાંત ઇસ્કોન-આંબલી રોડ પર ઘરાના ચાલે જ છે. આ પ્રોજેક્ટમાં સુપર લક્ઝરી 5 BHK અપાર્ટમેન્ટ 5-6 કરોડનો છે. આ ઉપરાંત અમદાવાદમાં બે ફાઇવસ્ટાર હોટલનો પણ પ્લાન છે. હાઉસિંગ બોર્ડના બેથી ત્રણ સારા રિડેવલમેન્ટના પ્રોજેક્ટ નારણપુરા-શાસ્ત્રીનગરમાં ચાલે છે. આજકાલ બિલ્ડિંગ બનાવીને આખી રેન્ટ પર પણ આપીએ છીએ. હાલમાં 1200 કરોડથી પણ વધારાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ભવિષ્યમાં ગિફ્ટસિટી, ધોલેરા તથા કંપની પાસે વિવિધ જગ્યાએ જમીનો છે તો ત્યાં સેકન્ડ હોમ, વેરહાઉસના ફ્યૂચર પ્રોજેક્ટ છે.' 'મહેલ જેવડો બંગલો પત્નીને ગિફ્ટ આપ્યો'પારસભાઈ સ્વીકારે છે, 'ભગવાને માગ્યા કરતાં વધુ આપ્યું છે. હવે હું મારા માટે કંઈ જ કરતો નથી પણ સમાજે મને જે આપ્યું તે જ હવે હું સમાજને પરત આપું છું. ઘણી બહેનોને ભણાવું છું. ઘણી માતાઓને ભરણપોષણ પૂરું પાડું છું. હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારાથી મા ન સચાવતી હોય તો મને કહી જાવ હું તેમને આજીવન સાચવી લઈશ. 48 વર્ષનો છું પણ હવે મારું સપનું છે કે સમાજની નાનામાં નાની વ્યક્તિને ઘરનું ઘર બનાવીને આપી શકું. સપના બધા જોતા હોય છે અને તે પૂરાં ઘણાના થાય છે, પરંતુ મેં જે સપનાં જોયા તેનાથી વધુ ભગવાને પૂરા કર્યા છે. મેઘાણીનગરના એક રૂમમાં રહેતો ને આજે વિશાળ બંગલામાં રહું છું. બંગલા પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે શાહીબાગમાં આવેલા ટાવરની બાજુમાં મહેલ જેવો ભવ્ય બંગલો હતો. મારી પત્નીને હું ઘણીવાર કહેતો કે આ બંગલો એક દિવસ આપણો હશે. તે હંમેશાં આ વાતને મજાકમાં લેતી ને કહેતી કે સપના પણ હેસિયત જોઈને જોવાના હોય. આજથી 10 વર્ષ પહેલાં મેં પત્નીના જન્મદિવસે તે બંગલો તેને ગિફ્ટમાં આપ્યો અને બંગલાનું નામ પત્નીના નામ પરથી 'તમન્ના' રાખ્યું.' સુપર પ્રીમિયમમાં બાથરૂમ જ 50 લાખનું હોય છે!અમદાવાદમાં સુપર પ્રીમિયમ ને પ્રીમિયમ મકાનોની સંખ્યા વધી રહી છે. આ અંગે પારસભાઈ કહે છે, 'દરેક પ્રોજેક્ટ કોસ્ટ પ્રમાણે અલગ અલગ હોય છે. એક ફ્લેટની કિંમત બે કરોડ હોય તો તેના બાથરૂમની કિંમત 14-15 લાખ રૂપિયા, જેમાં ટાઇલ્સ, સીપી સેનિટરી, કન્સ્ટ્રક્શન ખર્ચ સહિત બધું આવી ગયું. આ ઘરોમાં બાલ્કની પણ 20-25 લાખની હોય છે. કોઈક બાથરૂમ આઠ લાખ તો સુપર પ્રીમિયમ અપાર્ટમેન્ટમાં માત્ર એક બાથરૂમ જ 50 લાખનું બનતું હોય છે. મિડલ ક્લાસના ઘરમાં મોડ્યુલર કિચન ત્રણથી ચાર લાખ તો પ્રીમિયમમાં 12-15 લાખમાં બનતું હોય છે. અમદાવાદમાં પણ વર્લ્ડક્લાસ બ્રાન્ડ યુઝ થાય છે, જેગુઆર, કોલર, ટોટો સહિતની કંપનીઓ છે. આ કંપનીઓ મિડલ ક્લાસ વર્ગ માટે પણ સારી પ્રોડક્ટ બનાવે છે. હવે એવું નથી કે મોટી બ્રાન્ડ્સ માત્ર રિચ કે સુપર રિચ માટે જ પ્રોડક્ટ્સ બનાવે છે.' 'અક્કલ કામ નહીં કરે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર'પારસભાઈના મતે, 'વર્લ્ડ લેવલની ઇવેન્ટના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ગુજરાતમાં કોમનવેલ્થ આવી રહ્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છેલ્લા ચાર વર્ષથી કામ શરૂ થઈ ગયું છે. આ બધી ઇવેન્ટ્સ પાસ્ટમાં ડિઝાઇન થાય છે. આવી ઇવેન્ટ્સ માટે ગુજરાત તૈયાર છે. આગામી 10 વર્ષમાં કોઈ વિશ્વાસ નહીં કરે શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત ને અમદાવાદનું હશે.' 'અમદાવાદની ચારેય દિશા વિકસી રહી છે'અમદાવાદના કયા એરિયામાં સૌથી વધારે ભાવ તે પૂછતાં જ પારસભાઈ કહે છે, 'પહેલા એવું હતું કે પશ્ચિમ અમદાવાદમાં ભાવ વધારે અને પૂર્વ અમદાવાદમાં ઘણાં જ ઓછા ભાવ હોય પણ હવે તો અમદાવાદના કોઈ પણ ખૂણા કે દિશામાં જાવ તમને જમીન મોંઘી જ મળશે અને એ જ કારણે ઘરના ભાવ પણ વધારે જ હોય છે. પહેલાં એવુ કહેવાતું કે પૈસાદાર લોકો પશ્ચિમમાં જ રહે. હવે અમદાવાદની ચારેય દિશામાં પૈસાદાર લોકો રહે છે. અમદાવાદમાં ચારે બાજુએ બ્રાન્ડેડ શોરૂમ ખુલ્યા જ છે. અમદાવાદ ચારેય દિશાથી વિકસિત થઈ રહ્યું છે તેમ છતાંય કિંમતની રીતે જોઈએ તો, પશ્ચિમમાં પૂર્વ કરતાં 30% જેટલો ભાવ વધારે હશે. એ જ રીતે પૂર્વથી ઉત્તર ને પૂર્વથી દક્ષિણમાં 10-15%નો તફાવત છે. ' 'ઇસ્કોન-આંબલી બિલિયોનર સ્ટ્રીટ કહેવાય છે''ગુજરાતના સારા-સારા ઉદ્યોગપતિની પહેલી પસંદ ઇસ્કોન-આંબલી રોડ હોવાથી તેને બિલિયોનર સ્ટ્રીટ કહેવામાં આવે છે. હંમેશાં પશ્ચિમ થોડું વધારે જ વિકસિત બને છે. આ જ કારણે નવા પૈસાદાર લોકોને આ વિસ્તાર ગમે છે. આ વિસ્તારમાં બંગલો ખરીદવો પૈસાદાર વ્યક્તિ માટે મુશ્કેલ થઈ ગયો છે. બંગલાના ઓપ્શનમાં લક્ઝુરિયસ ફ્લેટ બની રહ્યા છે. બંગલા જેવી સુવિધા લક્ઝરી અપાર્ટમેન્ટમાં મળે છે અને સિક્યોરિટીની દૃષ્ટિએ પણ બંગલા કરતાં ફ્લેટ સારા.' '10 વર્ષમાં જમીન-મકાનના ભાવ વધ્યા'છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં આવેલા ફેરફારની વાત કરતાં પારસભાઈ કહે છે, 'રિયલ એસ્ટેટ પહેલાં જમીન ને મટિરિયલ સસ્તા હતા અને આ જ કારણે સારી કિંમતે ઘર મળતા. આજે જમીનની કિંમત ઘણી જ વધી છે. આ ભાવ વધવાનું કારણ એ છે કે આજે ગુજરાત ટોપ મેટ્રો સિટીની સમકક્ષ આવી ગયું છે. મોટી ઇવેન્ટ્સથી લઈ મોટા પ્રોજેક્ટ આવ્યા છે અને તેને કારણે જમીનની કિંમત સતત વધતી જાય છે. માલ-સામાન, લેબરની કિંમતો વધી છે. આ બધાને કારણે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં મકાનની કિંમત 3-4 ગણી વધી ગઈ છે.' 'ભાવ તો વધશે જ, હાલ ઘર ખરીદવાનો બેસ્ટ સમય'પારસભાઈના મતે, 'અમદાવાદનો સતત વિકાસ થઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈની તુલનામાં અમદાવાદના ઘરો ઘણા જ સસ્તા છે. મુંબઈમાં એક રૂમ- રસોડું જે ભાવમાં મળે છે, તે જ ભાવમાં અમદાવાદમાં અઢી રૂમ, કિચન-હોલ મળે છે એટલે કહેવાનો અર્થ એ જ કે આપણે ત્યાં હજી પણ કિંમતો વધી શકે છે. કોમનવેલ્થ ને ઓલિમ્પિક આવશે ત્યારે ભાવ વધવાની શક્યતા છે. અમદાવાદ-ગુજરાતમાં ભાવ તો ઘટશે જ નહીં. ભારતમાં સોનું ને જમીન- મકાનના ભાવ ક્યારેય ઘટતા નથી. મકાન આપણી જરૂરિયાત છે. હાલનો સમય ઘર ખરીદવાનો બેસ્ટ સમય છે. ઘરનો ભાવ 10%ના દરે વર્ષે વધે છે. મકાનન ભાવ વધવાની સ્પીડ ધીમી કે પછી સ્ટેડી હોઈ શકે પણ ભાવ ક્યારેય ઘટે નહીં. આજે જે ઘર 50નું છે તે ભવિષ્યમાં 60 લાખનું થશે તે નક્કી છે. અમદાવાદમાં રિયલ એસ્ટેટ હાલમાં થોડું સ્લો થયું છે, પરંતુ તે પાછળ પડ્યું નથી. કોમનવેલ્થમાં લાખો ટુરિસ્ટ, ખેલાડીઓ આવશે. ભગવાન ઈચ્છશે તો ઓલિમ્પિક આવશે. આ બધાને કારણે રિયલ એસ્ટેટ મોંઘું થશે.' મકાનની સાઇઝ કેમ નાની છે?પારસભાઈને પૂછવામાં આવ્યું કે આજકાલ અમદાવાદમાં મકાનોની સાઇઝ નાની લાગે છે તો તે પાછળનું ગણિત શું? તો તેમણે સમજાવ્યું, 'ઘર નાના હોવાનું કારણ છે કે જમીનની કિંમત વધારે છે અને બે કે ત્રણ બેડરૂમ જરૂરી છે. જમીન ઓછી અને નિયમો પ્રમાણે બધું કરવાનું છે એટલે ચોક્કસ સાઇઝમાં બે બેડરૂમ, ડ્રોઇંગરૂમ, ડાઇનિંગ, કિચન આપવાનું છે. સાથે બાલ્કની પણ હોય જ છે. તમે સિંગાપોર, જાપાન, હોંગકોંગમાં જોશો તો ત્યાં પણ જમીન ઓછી હોવાને કારણે તેની સીધી અસર મકાનની સાઇઝ પર પડે છે. વસતી જે રીતે વધી રહી છે તે રીતે મકાનો તો વધારે જ બનાવવાના છે એટલે સાઇઝ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે.' 'કસ્ટમરને એક જ વાત, મારી ક્વૉલિટી ના ગમે તો તોડી નાખો'પારસભાઈને પૂછવામાં આવ્યું કે કસ્ટમર સાથે કેવા અનુભવો થાય છે તો તેમણે કહ્યું, 'પ્રોજેક્ટમાં કસ્ટમર સારા જ હોય છે પણ કેટલાંક કસ્ટમરને વધુ પડતી ચોખવટ, ક્લિયરન્સ ને કમિટમેન્ટ કરતાં પણ વધુ પડતી એક્સપેક્ટેશન હોય છે. કસ્ટમરની માગણી સાચી જ હોય છે. કસ્ટમર ક્યારે પોતાના પૈસા કરતાં વધુની ડિમાન્ડ કરતો નથી. જો તમે કસ્ટમર બનીને પ્રોજેક્ટ કરો તો તે તરફથી પડકારો ખાસ આવતા પણ નથી. શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાના કસ્ટમરને એક જ વાત કહે છે, 'મારી કોઈ પણ ક્વૉલિટી ના ગમે તો તેને સ્વીકારવી નહીં અને તેને તોડી નાખવાની. હું તમારા જીવનની કમાણીનો સૌથી મોટો હિસ્સો લઉં છું તો તમારે ક્વૉલિટી સાથે સમાધાન કરવું નહીં. મારો કોન્ટ્રાક્ટર, એન્જિનિયર, સુપરવાઇઝર નવું બનાવીને આપશે.' ઘર લેતી વખતે શું શું ધ્યાન રાખવું?પારસભાઈ સમજાવે છે, જાણીતા ડેવલપર પાસેથી જ ઘર લેવાનો આગ્રહ રાખો. તે ડેવલપરના જૂના પ્રોજેક્ટ્સની જાત મુલાકાત લઈને ચેક કરવા. માર્કેટમાં જે-તે ડેવલપરની ક્વૉલિટી કેવી હોય છે તે અંગે પૂછપરછ કરવી. કન્સ્ટ્રક્શન ક્વૉલિટી ચેક કરવી હોય તો સેમ્પલ હાઉસ ચેક કરો અને એન્જિનિયરને પણ સવાલો પૂછી શકાય છે. RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) રજિસ્ટ્રેશન ચેક કરીને જમીન માલિકી ડેવલપરની છે કે નહીં તે ખાસ જોવું. દરેક ફ્લેટ ખરીદનારને સલાહ આપીશ કે તમે જ્યારે પણ ફ્લેટ ખરીદવા જાવ ત્યારે RERA રજિસ્ટર્ડ વગરના ફ્લેટ ખરીદશો નહીં. જો RERA રજિસ્ટર્ડ હશે તો કોઈ ચિટિંગ કરી શકશે નહીં પણ રજિસ્ટ્રેશન વગરનો ફ્લેટ ખરીદશો તો કોઈ મદદ કરી શકશે નહીં. થોડા સમય પહેલા જ સ્નેહાંજલિ સોસાયટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. આ સોસાયટી 40 વર્ષ જૂની હતી અને ત્યારે જમીનમાં આવા કિસ્સા બનતા, પરંતુ હવે RERAને કારણે હવે આવું એક ટકો કરવું પણ શક્ય નથી. આથી જ અમે કહીએ છીએ કે RERA ચકાસીને ફ્લેટ કે વીલા ખરીદો. જમીન ખરીદતા હોઈએ તો કોઈક સારા વકીલને વચ્ચે રાખીને જ ખરીદવી.' '30-40 માળની બિલ્ડિંગ માટે આકરા નિયમો'આજકાલ અમદાવાદમાં 30-40 માળની બિલ્ડિંગ બને છે તો કેવી સાવચેતી રાખવામાં આવે છે તે અંગે પારસભાઈ કહે છે, '30-40 માળની બિલ્ડિંગ બનાવવા સરકારના આકરા માપદંડોમાંથી પસાર થવું પડે છે. નીતિ નિયમોની કમિટી સંપૂર્ણ ચકાસણી બાદ જ પ્રોજેક્ટ પાસ કરે છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇનથી લઈ સ્ટીલ કેટલું, કેવું વાપરશો સહિતની નાનામાં નાની બાબતો જોવામાં આવે છે. ગુણવત્તા, સ્ટ્રેન્થ સહિતની બાબતો ચેક થાય છે. જમીન કઈ જગ્યાએ છે તે પણ જોવાય છે. ફાયર સેફ્ટીના નિયમો ઘણા જ કડક છે. 30-40 માળની બિલ્ડિંગમાં એક ફ્લોર ખાલી રાખવાનો હોય છે અને તેમાં કોઈ જાતનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું નથી. આગ કે કોઈ દુર્ઘટના કદાચ બને તો તે ફ્લોર પર સરળતાથી જઈ શકાય તેવી સુવિધા કરવામાં આવે છે. આ ફ્લોર પરથી ફાયર ડિપાર્ટમેન્ટ રેસ્ક્યૂ કરી શકશે. આ પ્રકારની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સહેજ પણ અવગણના ના થાય ત્યારે જ અપ્રૂવલ મળે છે.' 'આજકાલ 3-4 BHKના ફ્લેટ બનવાનું ચલણ વધ્યું છે'પારસભાઈ સ્વીકારે છે, ‘ગુજરાત પ્રગતિના પંથે છે. ગુજરાતનો મિડલ ક્લાસ હવે ધીમે ધીમે હાયર મિડલ ક્લાસ બનવા તરફ જઈ રહ્યો છે. રિડેવલપ્મેન્ટનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત જૂના મકાનોની કિંમત પણ સારી મળતી થઈ એટલે વ્યક્તિ 2 રૂમમાં રહેતો હોય તો 3 રૂમમાં શિફ્ટ થવા લાગ્યો ને 3 રૂમમાંથી ચાર ને અલ્ટ્રા લક્ઝરીમાં રહેવાનું પસંદ કરે છે. લોકોની આવક પણ વધી છે. 15 વર્ષ પહેલા ખરીદેલું મકાન વેચીને પ્રીમિયમ ક્વૉલિટીનું મકાન થોડા પૈસા ઉમેરવાથી મળી જાય છે એટલે લોકોને ધસારો તે તરફ રહેવાનો. આજકાલ વન બીએચકે બનવાનું પ્રમાણ એટલા માટે ઘટ્યું કે તેનો ખર્ચ બે બેડરૂમના ફ્લેટ જેટલો જ હોય છે. આ ઉપરાંત નાનામાં નાના પરિવારમાં ત્રણ વ્યક્તિ હોય એટલે હવે બહુ ઓછા પરિવારને એક બેડરૂમનું ઘર જોઈએ છીએ.’ '25 હજારથી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની ઈચ્છા'‘હાઉસિંગ બોર્ડના 30 મીટરથી પણ નાના ઘરમાં જન્મ્યો છું અને પ્રધાનમંત્રીનું સપનું નાનામાં નાની વ્યક્તિ પાસે ઘરનું ઘર હોય તે પ્રોજેક્ટમાં હું કામ કરું છું. અત્યારે સાબરમતી આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અઢીથી ત્રણ હજાર મકાનો બનાવીએ છીએ. મારી ઈચ્છા છે કે 25 હજારથી વધુ મકાન બનાવું. આવું ભાગ્યે જ જોવા મળે કે જે ડેવલપર પાંચ-છ કરોડના સુપર લક્ઝરી મકાનો બનાવે છે, તે જ પ્રધાનમંત્રી આવાસના મકાનો પણ બનાવે છે. સુપર લક્ઝરીમાં જે ક્વૉલિટી ને સામાન આપવામાં આવે છે તે જ એક્સેસરીઝ ને ક્વૉલિટી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપવામાં આવ્યા છે. પહેલી જ વાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સીપી સેનેટરી લક્ઝરી બ્રાન્ડની છે. સાચું કહું તો દરેક વસ્તુને નફા-નુકસાનના ત્રાજવે તોલવી યોગ્ય નથી.’ 'આજકાલ કસ્ટમરનો દૃષ્ટિકોણ બદલાયો છે'પારસભાઈને પૂછવામાં આવ્યું કે અમદાવાદમાં ઘણા ફ્લેટ્સ ખાલી પડ્યા છે તે વાત કેટલી સાચી તો તેમણે કહ્યું, ‘દરેક ફિલ્ડમાં એવો કેટલોક સમય આવતો હોય છે કે પાંચ વર્ષે ખરીદનારના વિચારમાં ચેન્જ આવે જ છે. પહેલા એવું હતું કે જ્યારે પણ પ્રોજેક્ટ લોન્ચ થાય તો પ્રી-બુકિંગમાં કસ્ટમરને ભાવમાં ફેર પડતો એટલે ફટોફટ ફ્લેટ વેચાઈ જતા. હવે કસ્ટમરના વિચાર બદલાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં તૈયાર થયેલા મકાનો ને બનતા મકાનોના ભાવમાં ખાસ ડિફરન્સ રહ્યો નથી. હાલમાં સોના-ચાંદી ને શેરબજારમાં વળતર વધારે મળતું હોવાથી ત્યાં રોકાણ વધી રહ્યું છે અને આ જ કારણે રિયલ એસ્ટેટનો વેચાણ દર થોડો ઘટ્યો છે. આ પાછળ માત્રને માત્ર કસ્ટમરનો બદલાયેલો દૃષ્ટિકોણ જ છે.’ ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે બીજા એપિસોડમાં જાણીશું ગુજરાતનું સૌથી ઊંચું ટાવર બનાવનાર નવરત્ન ગ્રુપની સફળતાની કહાની…)
ક્રિકેટ જગતના કિંગ ગણાતા વિરાટ કોહલીના કરોડો ચાહકો છે. વિરાટ જેવું રમવું, તેના જેવું દેખાવું કે તેની સ્ટાઇલની કોપી કરવી એ ઘણા યુવાનોનું સપનું હોય છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથે એક એવા બાળકનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેને જોઇને ખુદ વિરાટ કોહલી પણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો હતો. આ ઘટના વડોદરાની છે. કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝિલેન્ડની મેચના આગલા દિવસે આ બાળક અને કોહલી સાથે જોવા મળ્યા હતા. બાળકની ખાસિયત એ છે કે તેનો ચહેરો, તેની આંખો અને તેનું સ્મિત, તેના દાંત, તેના હાવભાવ અસલ વિરાટ કોહલીના બાળપણને મળતા આવે છે. જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેના ગોળમટોળ ચહેરાવાળા ચીકુ લૂકના ફોટા ફેમસ થયા હતા. આ બાળકનો ફોટો અને કોહલીના નાનપણનો ફોટો બાજુ-બાજુમાં મૂકીને જુઓ તો સરખા જ લાગે. ફેન્સ આ બાળકની તુલના વિરાટના બાળપણના તે પ્રખ્યાત ફોટા સાથે કરી રહ્યા છે જેમાં વિરાટ હાથમાં બેટ લઇને ઊભો છે અથવા કંઇક ખાઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો આ બાળકને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છે. ઘણાએ તો આ બાળકનું નામ મિની કોહલી પાડી દીધું છે. આ જુનિયર કોહલી કોણ છે? તે ક્યાં રહે છે? વિરાટે તેને મળીને શું કીધું? આ સવાલો તમને થતાં હશે. દિવ્ય ભાસ્કરે આ બાળકને શોધી કાઢ્યો છે અને તેની સાથે તેમજ તેના પિતા સાથે વાતચીત કરી છે. આ બાળકનું નામ ગર્વિત ઉત્તમ છે. તે વડોદરામાં નહીં પણ વડોદરાથી 1244 કિલોમીટર દૂર આવેલા હરિયાણાના પંચકુલામાં સેક્ટર-11માં પોતાના પરિવાર સાથે રહે છે. ગર્વિતના પિતાનું નામ સુરેન્દર સિંગ છે અને તે હિમાચલની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ગર્વિતને એક્ટિંગ અને ક્રિકેટ ખૂબ પસંદ છે. ગર્વિતે બૂમ પાડી અને કોહલીનું ધ્યાન ગયુંવડોદરાના કોટંબી સ્ટેડિયમ પર જ્યારે કોહલી આવ્યો ત્યારે ગર્વિતે તેને જોઇને બૂમ પાડી હતી. જેના પછી શું થયું તે ગર્વિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું. 'જ્યારે વિરાટ કોહલી આવી રહ્યાં હતા ત્યારે મેં તેમને જોરથી બૂમ પાડી હતી એટલે તેમણે મારી સામે જોયું હતું. તેમણે મને દૂરથી હાય કર્યું અને કહ્યું કે હું થોડીવારમાં આવું છું. થોડીવાર પછી તે આવ્યાં અને તેમણે મને બેટ પર ઓટોગ્રાફ આપ્યો હતો.' રોહિત શર્માએ કહ્યું- વિરાટ તારો ડુપ્લિકેટ બેઠો છે'વિરાટ કોહલી અને રોહિત શર્મા મારાથી દૂર ઊભા હતા અને મને જોયો ત્યારે તરત જ રોહિત શર્માએ વિરાટ કોહલીને કહ્યું, અરે વહાં દેખ વિરાટ તેરા ડુપ્લિકેટ બેઠા હૈં... આ સાંભળીને મને ખૂબ જ ખુશી થઇ હતી.' ક્રિકેટર અર્શદીપે ગર્વિત અને બીજા બાળકો સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે અર્શદીપે કંઇક એવું કહ્યું કે બધા ખડખડાટ હસી પડ્યા હતા. અર્શદીપની કોમેન્ટ અને હાસ્યનું મોજું ફરી વળ્યુંગર્વિત કહે છે કે, જ્યારે અમે અર્શદીપને મળ્યાં ત્યારે તેણે અમારી સાથે એક વીડિયો બનાવ્યો હતો. અર્શદીપ ખૂબ હસતા હતા અને તેમના દાંત દેખાતા હતા. હું ત્યાં ફક્ત નોર્મલ સ્માઇલ કરીને ઊભો હતો એટલે અર્શદીપે મજાક કરતાં મને કહ્યું કે અરે બેટા તેરા દાંત કહાં હૈ? આવું કહીને અમને હસાવ્યાં હતા. એ પછી અમારી સાથે મસ્તી પણ કરી હતી. 'મને પહેલેથી જ એક્ટિંગ કરવી અને ક્રિકેટ રમવું ખૂબ પસંદ છે. એમાંય મને વિરાટ કોહલીની સ્ટાઇલ વધારે ગમે છે.' ગર્વિતે પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું કે, હવે લોકો મારા પપ્પાને કોલ કરીને કહે છે કે હજી સુધી અમે વિરાટ કોહલીને નથી મળી શક્યાં અને તમારા દીકરાએ આટલી નાની ઉંમરમાં કેવી રીતે આવું કરીને બતાવ્યું? હરિયાણામાં રહેતો 8 વર્ષનો ગર્વિત વડોદરા ક્યારે આવ્યો અને કયા કયા સ્ટાર ક્રિકેટર્સને મળ્યો તેના વિશે તેના પિતાએ વાત કરી. 8મી તારીખે વડોદરા આવ્યા હતાસુરેન્દર સિંગે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 4 જાન્યુઆરીએ અમારે ચંડીગઢથી એક કામ માટે હૈદરાબાદ જવાનું થયું હતું. એ પછી વડોદરામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પહેલી વન ડે મેચ રમાવાની હતી એટલે અમે 8મી તારીખે વડોદરાના કોટંબી સ્ટેડિયમ આવ્યા હતા. સ્ટેડિયમમાં સુરેન્દર સિંગ અને ગર્વિતની મુલાકાત વિરાટ કોહલી, શુભમન ગિલ, અર્શદીપ, કે.એલ.રાહુલ અને રોહિત શર્મા સાથે થઇ હતી. વીડિયો વાઇરલ થતાં આખા દેશમાંથી ફોન આવ્યાઆ મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે, એ સમયે મારા દીકરા ગર્વિતે પણ વિરાટ કોહલીના નામ અને નંબરવાળી જ સેમ ટી શર્ટ અને ટ્રેક પહેર્યા હતા. કોહલી અને બાકીના ક્રિકેટર્સ સાથે તેની વાતચીત થઇ હતી. જેનો વીડિયો અને ફોટા અત્યારે ખૂબ જ વાઇરલ થઇ રહ્યાં છે. મને દેશભરમાંથી લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થઇ ગયા છે. બધા મને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ગર્વિતને જોઇને ખુદ વિરાટ કોહલી પણ ચોંકી ગયો હતો. કોહલીનું શું રિએક્શન હતું?કોહલીના રિએક્શન વિશે વાત કરતાં ગર્વિતના પિતાએ કહ્યું કે, મારા દીકરાને જોઇને થોડા સમય માટે તો કોહલી પણ નવાઇ પામ્યા હતા. એ પછી તેણે હસીને ગર્વિતને કહ્યું હતું કે અરે તુ તો અબસે મેરા દોસ્ત હૈ, તુ તો બિલકુલ મેરે જેસા હી દીખ રહા હૈ. તુ તો યાર મેરી કાર્બન કોપી હી હૈ. આટલું કહીને વિરાટ કોહલીએ તેને ઓટોગ્રાફ પણ આપ્યો એ પછી તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. પરિવારે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના દિકરાને રાતો રાત આટલી બધી પ્રસિદ્ધિ મળી જશે. તેમના મનમાં એવું હતું કે તેમના દીકરાનો ચહેરો વિરાટ કોહલીના બાળપણ જેવો જ છે પણ તેમને સપનામાં પણ આવો ખ્યાલ નહોતો કે તેમનો દીકરો રાતોરાત આટલો ફેમસ થઇ જશે. કોહલની જેમ ગર્વિત પણ આગળ વધે તેવી પિતાની ઇચ્છાસુરેન્દર સિંગે કહ્યું કે, હાલમાં મારા દીકરાના નામની બૂમ છે. ઇન્ટરનેટ પર તે બધી જ જગ્યાએ છવાઇ ગયો છે. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે તેને હજી વધારે આગળ વધારવામાં મદદ કરે. હાલમાં તે વિરાટ કોહલીની કોપી કરી રહ્યો છે પણ તેની પ્રસિદ્ધિ વિરાટ કોહલી જેવી થાય એવી જ ઇચ્છા છે. 'મારા દીકરાને જોઇને હવે લોકો છોટે વિરાટ કોહલી, લિટલ ચીકુ કહીને બોલાવે છે. આનાથી અમે જ નહીં અમારા પરિવારના લોકોને પણ ખૂબ જ ખુશી મળી રહી છે.' પિતાનું અધુરૂં સપનુંસુરેન્દર સિંગ સચિન તેંડુલકરના ફેન છે. તેમનું સપનું પણ ક્રિકેટર બનવાનું હતું પણ સંજોગવશાત તે અધુરૂં રહી ગયું. પોતાનું અધુરૂં સપનું બન્ને બાળકો પુરૂં કરી શકે તે માટે તેમણે બન્ને દીકરાઓને ક્રિકેટ કોંચિગમાં મુક્યાં છે. વાઇરલ લિટલ વિરાટ કોહલી ગર્વિત 5 વર્ષનો હતો ત્યારથી જ તે ક્રિકેટ એકેડેમીમાં છે. આજે તેની ઉંમર 8 વર્ષની થઇ છે એટલે તે છેલ્લા ત્રણેક વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારું સપનું ક્રિકેટર બનવાનું હતું. હું ત્યારે ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમતો હતો પણ ત્યારે કંઇ થઇ શક્યું નહીં અને એ સપનું અધુરું રહી ગયું. ક્રિકેટ એકેડેમીમાં ગર્વિતની ઓળખ કોહલી જ છેવડોદરા આવ્યા ત્યાર પછી જ લોકો ગર્વિતને લિટલ વિરાટ કોહલી તરીકે ઓળખતાં થયાં કે એ પહેલાં પણ ક્યારેય કોઇએ કહ્યું હતું તે અંગે પૂછતાં સુરેન્દર સિંગે કહ્યું, તેને લિટલ વિરાટ કોહલી કહેવાનો સિલસિલો તો 2-3 વર્ષ પહેલાંથી શરૂ થયો હતો પણ અમે માત્ર ઘરના લોકો જ એવું કહેતા હતા. ગર્વિત જે એકેડેમીમાં જાય છે ત્યાં પણ તેને લોકો કોહલી કોહલી કહીને જ બોલાવે છે. ગર્વિત પોતે પણ કોહલીનો ફેન છે. તેના પિતા કહે છે કે, મારો દીકરો ગર્વિત કિંગ કોહલીને પોતાનો ભગવાન માને છે. એ નાનો હતો ત્યારે પણ અમે તેને કોહલી વિશે કંઇ કહ્યું નથી પણ તેને જેમ જેમ સમજણ આવવા લાગી તેમ એ કોહલીનો બિગ ફેન બની ગયો છે. તે કોહલીને જોઇ જોઇને તેના જેવી જ રીતે ચાલવાથી લઇને તેની સ્ટાઇલમાં રમવાનો પ્રયત્ન કરે છે. ગર્વિત ક્રિકેટ કિટ સાથે લઇને સૂઇ જાય છેગર્વિત જ્યારે ક્રિકેટ એકેડેમીમાંથી પાછો આવે છે ત્યારે તેની ક્રિકેટની કિટને પરિવારના લોકો એક ઠેકાણે મુકી દે છે પણ તે ત્યાંથી ઉઠાવીને તેના બેડમાં લઇ આવે છે અને તે જે જ્યાં સૂવે છે ત્યાં પોતાની પાસે રાખે છે. આમ તે પોતાની ચારેય બાજુ ક્રિકેટની કિટ રાખે છે આટલી નાની ઉંમરમાં પણ તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ છે. વડોદરામાં લોકોએ ગર્વિત સાથે ખૂબ સેલ્ફી લીધી હતી. આ વાતને યાદ કરતા તેના પિતાએ કહ્યું કે, જ્યારે અમે બહાર માર્કેટમાં જઇએ ત્યારે લોકો તેની સાથે વાતચીત કરે છે અને પૂછે છે. વડોદરામાં તો લોકોએ તેની સાથે ખૂબ જ સેલ્ફી લીધી છે, લોકો તેને જુનિયર વિરાટના નામથી બોલવતાં હતા પણ અહીંયા હજી એટલા બધા લોકોને ખબર નથી. લોકો ગર્વિતને ફક્ત કોહલીના નામથી જ ઓળખે છે તેનું નામ ખબર નથી હોતું.
ઉત્તરાયણનું પર્વ નજીક આવતા જ પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે કે, પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે?. આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓએ ચિંતા કરવાની જરુર નથી. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરુરિયાત રહે છે. ભાસ્કરે હવામાન નિષ્ણાત અંકિત પટેલ સાથે વાત કરી હતી અને ઉત્તરાયણના પર્વ પર રાજ્યના મહત્વના શહેરોમાં સવારથી સાંજ સુધી પવનની ગતિ કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 'આ વર્ષે પતંગબાજાનો પવન નિરાશ નહીં કરે' ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિકો માટે આનંદના સમાચાર એ છ કે, આ વર્ષે પતંગ ચગાવવા માટે વધુ ઠુમકા લગાવવા નહીં પડે. રાજ્યમાં પવનની ગતિ સામાન્ય અને પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા મુજબ સામાન્ય પતંગ ચગાવવા માટે પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની હોવી જરુરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે. અમદાવાદમાં સવારથી સાંજ સુધી 7કિમીથી 10 કિમીની ગતિ રહેશેઅમદાવાદ શહેરમાં ઉત્તરાયણના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પવનની ગતિ 7 કિમીથી લઈ 10 કિમીની રહેશે. એટલે કે દિવસ દરમિયાન સામાન્ય પતંગ ચગાવવા માટે પતંગરસિકોએ નિરાશ થવું નહીં પડે. સુરતમાં સવારથી સાંજ સુધી પ્રતિ કલાક 11 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ ઉત્તરાયણે સુરતીઓને પવનનો પૂરતો સાથ મળશે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી થી લઈ 15 કિમી સુધી રહેવાની શક્યતા છે. એટલે કે, દિવસ દરમિયાન પતંગરસિકો ક્યારેય પણ નિરાશ થાય તેવી સ્થિતિ નથી. વડોદરામાં દિવસ દરમિયાન 5 થી 11 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીવડોદરા શહેરમાં સવારના સમયે પવનની ગતિ થોડી ધીમી રહેશે. પરંતુ, 9 વાગ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ પ્રતિ કલાક 8 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે સામાન્ય સાઈઝની પતંગ ચગાવનારા પતંગબાજાનો મુશ્કેલી પડશે નહીં. રાજકોટમાં પ્રતિ કલાક 7 થી 14 કિમીની ઝડપ રહેશેરાજકોટ શહેરની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે પતંગરસિકો આસાનીથી પતંગ ચગાવી શકે એટલી પવનની ગતિ રહેશે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પવનની ગતિ પ્રતિ કલાક 10 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા છે. જૂનાગઢમાં સવારથી સાંજ સુધી પવનનો પૂરતો સાથે મળશેજૂનાગઢ શહેરમાં સવારથી જ પવનની ગતિ પ્રતિ કલાક 9 કિમી આસપાસ રહેશે. જેમાં બપોર થતા વધારો થશે. સાંજ સુધી પતંગ ચગાવવા માટે વાતાવરણ અનુકૂળ રહેવાની શક્યતા છે. ભાવનગરમાં પ્રતિ કલાક 8 કિમીથી લઈ 15 કિમીની ઝડપે પવન ફૂંકાશેભાવનગરમાં ઉત્તરાયણના દિવસે દિવસભર પતંગ ચગાવવા માટે અનુકૂળ પવન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ સવારથી જ શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી આસપાસ રહેશે. સામાન્ય પતંગ માટે પ્રતિ કલાક 5 કિમી અને ફેન્સી પતંગ માટે પ્રતિ કલાક 10 કિમીની જરુરિયાતઅંકિત પટેલે જણાવ્યું હતું કે, આપણ જે સામાન્ય સાઈઝની પતંગ ચગાવીએ છીએ તે 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનમાં આસાનીથી ચગી જાય છે. પરંતુ, જે ફેન્સી અને મોટી પતંગો હોય છે તે ચગાવવા માટે 10 કિમી કે તેનાથી વધુ ગતિના પવનની જરુરિયાત રહે છે. ચીનથી આવેલો પતંગ વિશ્વભરમાં છવાઈ ગયો પતંગની શોધ ચીનના શાનડોંગમાં થઈ હતી. શરૂઆતમાં કંઇક એવી રીતે થઈ હતી કે ખેતરમાં એક ચીનનો ખેડૂત પોતાની ટોપીને હવામાં ઉડતી બચાવવા તેને એક દોરડા સાથે બાંધીને રાખતો હતો. જ્યારે પવન આવતો તો ઉડતી ટોપીનું દૃશ્ય ખેડૂત માટે રસપ્રદ હતું. આ સાથે જ ચીનમાં પતંગની શરૂઆત થઈ.કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, 5મી સદીમાં ચીનના ફિલસૂફો મોજી અને લુ-બાને વાંસના કાગળની મદદથી પતંગની શોધ કરી હતી અને અહીંથી પતંગ ચગાવવાની શરૂઆત થઈ હતી. પતંગનો ઉપયોગ ક્યારેક સંદેશ મોકલવા માટે પણ થતો કાગળના પતંગો 549 ઇ.સ.થી લહેરાતા હતા કારણ કે, તે સમયે પતંગોનો સંદેશ મોકલવા માટે ઉપયોગ થતો હતો. મોટાભાગના લોકોનું માનવું છે કે, ચીની મુસાફરો હિનયાન અને હ્વેન સાંગ પતંગને ભારત લાવ્યા હતા. પતંગનો ઉપયોગ સૌપ્રથમ વાતાવરણમાં હવાના તાપમાન, દબાણ, ભેજ, પવન અને દિશાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યો હતો. વર્ષ 1898થી 1933 સુધી હવામાનશાસ્ત્રના બ્યુરોએ હવામાનના અભ્યાસ માટે પતંગ કેન્દ્ર બનાવ્યું હતું. અહીંથી હવામાનની આગાહી સૂચનોથી સજ્જ બોક્સ પતંગો ઉડાવીને હવામાન કેવું છે તે શોધવામાં આવતું હતું. ચીનથી લઇને સાઉથ આફ્રિકા સુધી પતંગ ઉડાવવાનો ઉત્સાહ
એક ગામ જે સુવિધામાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોને પણ ઝાંખા પાડી દે, જ્યાં હજારો કરોડ રૂપિયા તો બેન્કની ફિક્સ ડિપોઝીટમાં પડ્યા રહે છે, છતાં અહીં ન તો કોઇ પોલીસ સ્ટેશન છે ન પોલીસ ચોકી, એ ગામ જેનું પોતાનું એક ગીત છે, જ્યાં શેરીએ શેરીએ ભવ્ય બંગલા આવેલા છે. તમે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, યુરોપ ગમે ત્યાં જાઓ આ ગામનો એક વ્યક્તિ તો મળશે જ કારણ કે ગામના દરેક ઘરમાંથી કોઇને કોઇ વિદેશમાં સેટલ છે. આ ગામ એટલે ચરોતરનું પેરિસ તરીકે જાણીતું ધર્મજ. આ ગામના લોકો 12 જાન્યુઆરીને ધર્મજ ડે તરીકે ઉજવે છે. ગામની ચર્ચા ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વ ફલક પર થાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે ધર્મજની મુલાકાત લઇ તેનો વિદેશ સાથેનો સંબંધ, ત્યાંની રહેણીકરણી અને પારકા પ્રદેશમાં સફળતાના ઝંડા ફરકાવનાર લોકો સાથે વાત કરી હતી. અમને ઘણા એવા લોકો મળ્યાં જે ધર્મજ ડેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. ધર્મજ માત્ર તેની ધનાઢ્યતાના કારણે જ જાણીતું નથી પણ તેના ઇતિહાસમાં સંતો, શૌર્ય, શહીદો અને શૂરવીરોની ગાથા વણાયેલી છે. ગામની વસતિ તો 10 હજારથી વધુ છે પરંતુ હાલ માત્ર 1100 જેટલા જ લોકો રહે છે કારણ કે મોટાભાગના લોકો વિદેશમાં વસે છે. જેથી વર્ષે એક વખત લોકો અહીં આવી શકે. એકબીજાના મળી શકે, નવી પેઢી પોતાની ભૂમિ, સંસ્કૃતિ ને પોતાના ગામ સાથે જોડાયેલી રહે તે માટે ગામના વડીલોએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે જ ધર્મજ ડે ઉજવવાની શરૂઆત કરી હતી. આજના દિવસે અહીં સાંસ્કૃતિક સહિતના વિવિધ કાર્યક્રમ તો થાય જ છે સાથે જ ધર્મજ રત્ન અને ધર્મજ ગૌરવ જેવા એવોર્ડ પણ અપાય છે. ગામની બેન્કોમાં હજારો કરોડની ફિક્સ ડિપોઝિટ સામાન્ય રીતે તાલુકા મથકોમાં જેટલી બેંકો હોય તેટલી તો આ એકલા ધર્મજ ગામમાં જ છે. હાલ અહીં 11 જેટલી નેશનલાઇઝ અને કો-ઓપરેટિવ બેન્કો છે. જેમાં ગામની પોતાની 'ધર્મજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક' મુખ્ય છે. વિદેશમાં વસતા હજારો ધર્મજના લોકો પોતાની તમામ બચત અને કમાણી વતનની બેંકોમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવે છે. આ ડિપોઝિટનો આંકડો હજારો કરોડોમાં છે. 8 દાયકા જૂનું ગિરઘર ભવનઅહીં દસ ઘરા નામની મોટી હવેલી આવેલી છે. જે ગિરધર ભવન તરીકે ઓળખાય છે. અહીં કુલ દસ ઘર છે, એક તરફ 6 ઘર, વચ્ચે દરવાજો અને બીજી બાજુ 4 ઘર. જેથી આ ઘરને દસ ઘરા કહેવાય છે. આ મકાનો બન્યાને 85 વર્ષ થયા છે પણ તેનું બાંધકામ એટલું સોલિડ છે કે ભૂકંપમાં પણ એક તિરાડ પડી નથી. એના પિલરને બાથ ભીડીને પણ પકડી ના શકાય એટલા મજબૂત છે. તેમાં પ્યોર સાગનું લાકડું, માટી અને ચૂનાનો ઉપયોગ થયો છે. ગિરધરભાઇ અને તેમના ભાઇઓને રહેવા માટે આ મકાન બનાવ્યા હતા. અત્યારે દસ ઘરા પરિવારની 3 પેઢીઓ વિદેશમાં છે. અહીં કોઈ રહેતું નથી. અમુક ઘર બંધ છે અને કેટલાંક ભાડૂઆતને આપ્યા છે. દસ ઘરા ફેમિલી એટલે ડોનેશન વાળું ફેમિલી કહેવાય છે. આ પરિવારે ગંગાબા ત્રિભોવનદાસ બાલમંદિર બનાવેલું છે. ‘મારી લંડનમાં 20થી વધુ પ્રોપર્ટી છે અને 7 મોટા કેમિસ્ટ સ્ટોર્સ’94 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પટેલને ગામના લોકો પ્રેમથી ભામાશા કહે છે. 1955માં લગ્ન કરીને તેઓ કેન્યા ગયા હતા પછી 1968માં લંડન શિફ્ટ થઇ ગયા. ત્યારે મારા બે દીકરાઓ 7 અને 8 વર્ષના હતા. ત્યાંની સરકારે બધા પૈસા આપ્યા હતા. એટલે બંને દીકરાઓને સારુ એજ્યુકેશન મળ્યું. એક દીકરો કેમિસ્ટ બન્યો અને બીજો ડોક્ટર થયો અને હાલ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી છે. કેન્યાથી 3-4 હજાર રૂપિયા લઇને લંડન ગયેલા હસમુખભાઇના પરિવાર પાસે આજે લંડનમાં 20થી વધુ પ્રોપર્ટી છે અને 7 મોટા કેમિસ્ટ સ્ટોર્સ છે જ્યાં લોકોને રોજગારી આપે છે. છતાં ગામ પ્રત્યેની લાગણી તેમને દર વર્ષે 6 મહિના માટે ધર્મજ ખેંચી લાવે છે. તેમણે ગામમાં 20 લાખ ખર્ચીને અત્યાધુનિક સ્મશાન બનાવ્યું છે અને દર વર્ષે હજારેક સ્કૂલના બાળકોને ભોજન કરાવે છે. ધર્મજ ડેમાં ભાગ લેવા આવેલા 86 વર્ષીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની સ્મૃતિઓ વાગોળતા કહે છે મારો જન્મ 1939માં દક્ષિણ આફ્રિકામાં થયો હતો. મારા માતા-પિતા યુગાન્ડામાં રહેતા હતા. પરંતુ સારા શિક્ષણ માટે હું 18 વર્ષની ઉંમર સુધી ધર્મજમાં જ રહ્યો હતો. ત્યારબાદ હું ફરી યુગાન્ડા ગયો જ્યાં અમારો હાર્ડવેરનો ખૂબ મોટો બિઝનેસ હતો. ‘લંડનની સરખામણીએ હવે ગુજરાતમાં વધુ સુવિધાઓ છે’ભૂપેન્દ્રભાઈ આગળ જણાવે છે કે 1972માં ઇદી અમીને જ્યારે ભારતીયોને કાઢી મૂક્યા, ત્યારે અમારે રાતોરાત બધું જ ત્યાં છોડીને ખાલી હાથે લંડન જવું પડ્યું. લંડનમાં અમે ફરી શૂન્યમાંથી સર્જન કર્યું. અત્યારે મારા દીકરાની ઇટલીમાં ફેક્ટરી છે. તે સોફા માટે લેધર બનાવે છે. હાલમાં અમદાવાદમાં રહેતા અને ધર્મજગામના વતની સંજયભાઇ પટેલ કહે છે કે હાલ ગામમાં રાષ્ટ્રીયકૃત બેન્ક અને કોઓપરેટિવ બેન્ક કાર્યરત છે. દરેક બેન્ક પાસે કરોડો રૂપિયાની થાપણ છે. પરંતુ નવાઇની વાત એ છે કે, આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા આ ગામમાં એક પણ પોલીસ ચોકી નથી. ‘મેં લંડનની બધી સંપત્તિ ભત્રીજાને ગિફ્ટ કરી દીધી’93 વર્ષના જેરામભાઈ નરસિંહભાઈ પટેલ 23 વર્ષની ઉંમરે લંડન ગયા હતા. તેઓ લંડનની પ્રખ્યાત HSBC બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા. 1989માં નિવૃત્ત થયા બાદ તેઓ 2018માં કાયમી માટે ધર્મજ પરત ફર્યા છે. જેરામભાઈએ પોતાની સંપત્તિ ભત્રીજાને ગિફ્ટ કરી દીધી છે અને અત્યારે ગામમાં શાંતિથી નિવૃત્ત જીવન જીવે છે. ધર્મજ ગામનો વિકાસ તેના વડવાઓના લોહી-પરસેવાની કમાણી છે. રાજુ ધર્મજ તરીકે જાણીતા ગામના અગ્રણી રાજેશ પટેલ ગામના ઇતિહાસ વિશે જણાવે છે કે, ગામનો ઇતિહાસ અંદાજે 850 વર્ષ જૂનો છે. સરદાર ચોકની જૂની ખડકીના નરસિંહભાઇ જેરગામથી આવીને અહીં વસ્યા હતા. ત્યારબાદ પોણા ચારસો વર્ષ પહેલાં રંગા પટેલ સોજિત્રા પાસેના વિરોલ ગામથી અહીં આવ્યા હતા. આજે ગામમાં અઢારેય વર્ણના લોકો હળીમળીને રહે છે અને આ એકતા જ ગામની પ્રગતિનું કારણ છે. તેમણે કહ્યું કે, ધર્મજ એટલે ચરોતરનું પેરિસ આને લઇ મને થોડો વિરોધ છે. કેમ કે ધર્મજ એટલે ધર્મજ આપણે કોઇની કલ્પના કેમ કરીએ. હા, ધર્મજનો ટાવર કદાચ એફિલ ટાવરથી નાનો હશે. પરંતુ જો હું એફિલ ટાવર પાસે ઊભો રહું તો કોઇ ફિલિંગ ન આવે પણ ધર્મજ ટાવરનો ખાલી ફોટો જોઇ લઉં એટલે જીવનભરની યાદો મારી સામે આવી જાય. ‘બધા લંડન, અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં રહે છે’‘અમારા ગામની વસતિ 10,500ની છે. ધીરે ધીરે માઇગ્રેશન થયું અને એટલે ધર્મજના લોકો વધારે પડતાં પરદેશમાં છે. લંડનમાં 1700 પરિવાર, અમેરિકામાં 1000થી 1200, કેનેડામાં 500, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 150થી 300 ફેમિલી છે. લંડન વધારે ઓર્ગેનાઇઝ છે કેમ કે ત્રણ-ચાર પેઢીથી ત્યાં છે. ધર્મજ સોસાયટી ઓફ લંડન 1968થી રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કામ કરે છે. 1300 ફેમિલી તેમના મેમ્બર છે.’ '2018માં 50 વર્ષની ઉજવણી થઇ ત્યારે હું ગેસ્ટ તરીકે ત્યાં ગયો હતો. અમેરિકા, કેનેડામાં પણ આ જ રીતે કામ કરે છે. જો કે ભલે બહાર રહે પણ ડેડિકેશન એટલું જ રહ્યું છે. જે લોકો અહીંયા રહ્યાં છે તે દરેક સમાજની ચિંતા કરે છે. સમાજના મોટા ભાઇ થઇને રહે છે.' રાજેશ પટેલ કહે છે કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે લોકો પાસે માત્ર ગુજરાતી ભાષાનું જ્ઞાન હતું. છતાં તેઓ સઢવાળા વહાણોમાં બેસીને મુંબઈથી આફ્રિકા પહોંચ્યા. ત્યાં જઈને તેમણે મજૂરી કરી, કાપડ અને હાર્ડવેરના વ્યવસાય ઊભા કર્યા. 1916માં ઘણા લોકો આફ્રિકાથી પાછા પણ આવ્યા હતા, પણ 1970ના દાયકા બાદ લંડન, અમેરિકા અને હવે કેનેડા-ઓસ્ટ્રેલિયા જવાનો ટ્રેન્ડ વધ્યો છે. 1942માં જ ધર્મજને નલ સે જલ મળવા લાગ્યું'આજે નલ સે જલની યોજના ચાલે છે, પણ ધર્મજે 1942માં જ આ સિદ્ધિ મેળવી લીધી હતી. ત્યારે ગામમાં વીજળી નહોતી, છતાં રસ્ટર્ન કંપનીના મોટા એન્જિનો ચલાવીને ઓવરહેડ ટેન્કમાં પાણી ચડાવી આખા ગામમાં વિતરણ કરવામાં આવતું હતું. રસ્ટર્ન કંપનીના ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુટર શિવાભાઇ પટેલ ધર્મજના હતા. તેમના બંગલે મુંબઇના ગવર્નર પણ આવતા હતા.1954માં ગામમાં વીજળી આવી અને 1959માં ટેકનિકલ સ્કૂલ શરૂ થઇ હતી. ગામમાં 1875થી શિક્ષણ અને 1890થી કન્યા કેળવણીની વ્યવસ્થા થઇ, 1894માં અંગ્રેજી સ્કૂલો અને 1905માં માધ્યમિક શિક્ષણ શરૂ થઇ ગયું હતું. જે તે સમયે ક્રાંતિકારી પગલું હતું.' ગૌચરમાંથી વર્ષે અંદાજે 45થી 50 લાખની આવક 'ગામની ધર્મજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક માત્ર એક બેંક નથી, પણ ગામના વિકાસનું એન્જિન છે. કોઇ પણ જ્ઞાતિનો યુવાન હોય, જો તેને વિદેશ ભણવા જવું હોય તો આ બેંક તેને ખૂબ જ સસ્તા દરે લોન આપીને તેના સપના પૂરા કરે છે. અને વાત કરીએ ગૌચર વિકાસની તો 1971માં જ્યારે ચીમનભાઇ અને ચંદ્રકાંતભાઇ સરપંચ હતા, ત્યારે તેમણે 35 વર્ષ સુધી સેવા આપીને ગૌચરનો કાયાકલ્પ કર્યો. 10-15 ફૂટના ખાડા પૂરીને ત્યાં ખેતીલાયક જમીન બનાવી. આજે ગામની ગટરના પાણીને ફિલ્ટર કરીને ગૌચરમાં વાળવામાં આવે છે, જેનાથી વિપુલ ઘાસચારો ઊગે છે. પશુપાલકોને માત્ર 25 રૂપિયામાં 20 કિલો ઘાસ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગૌચરમાં 16000થી વધુ વૃક્ષો છે.' ‘ગામની શિસ્ત એટલી ચુસ્ત છે કે ઝાડ પર કેરી લાગી હોય તો પણ કોઈ તેને સ્પર્શતું નથી. હરાજીમાં જેણે ફળ રાખ્યા હોય તે જ તેનું વેચાણ કરે છે. પંચાયત પોતાની જ આવકમાંથી ગામમાં લાઇટ, સફાઇ અને રસ્તાઓની સુવિધા પૂરી પાડે છે. 25 એકરમાં ફેલાયેલા રિક્રીએશન પાર્કમાં સ્વિમિંગ પુલ, વોટર રાઇડ અને પાર્ટી પ્લોટ છે. જે ગ્રામજનોને રાહત દરે આપવામાં આવે છે. આમ હાલ ગૌચરમાંથી વર્ષે અંદાજે 45થી 50 લાખની આવક થાય છે.’ ધર્મજમાં ઘરે ઘરે આરઓનું પાણી બોટલથી પહોંચાડાય છે. આ અંગે રાજુ પટેલે કહ્યું કે, ધર્મજ સોસાયટી ઓફ લંડને અમને એક હોસ્પિટલ બનાવી આપી છે. મોટા ભાગના દર્દીઓનો રોગ પાણીજન્ય હોય છે. પાણી શુદ્ધ હોય તો રોગ ઓછાં થાય. એટલે તેમણે આર.ઓ. પ્લાન્ટ કરાવી આપ્યો. રાહત દરે ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. ઘરે બેઠાં આરઓવાળું પાણી બોટલમાં પહોંચાડવામાં આવે છે. એકદમ ઓછો ચાર્જ લઇએ છીએ.' ‘વંશાવલીમાં દીકરીઓના નામનો પણ સમાવેશ કર્યો’'12 જાન્યુઆરી 2007ના રોજ 'ધર્મજ ડે' ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. અમે ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં ટેગલાઈન બનાવી છે. સેલિબ્રેશન ફોર જનરેશન નેક્સ્ટ એટલે કે આવનારી પેઢી માટેનો ઉત્સવ. આ દિવસે વિદેશમાં વસતી નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરાય છે. અમે દીકરીઓને પણ ખાસ નિમંત્રણ આપીએ છીએ.' ધર્મજ ગામનું પોતાનું એક અલગ ગીત છે. વિશ્વના કોઇપણ ખૂણે ધર્મજનો પ્રસંગ હોય ત્યારે આ ગીત રાષ્ટ્રગીતની જેમ ગવાય છે.રાજેશ પટેલ કહે છે કે , ગામનું પોતાનું એક 'ધર્મજ ગીત' છે. આ ધર્મજ, મારું ધર્મજ ગામ, ધન્ય ધન્ય છે ધર્મજ ગામ.. ગીત સાંભળીને દરેક ધર્મજવાસીનું હૈયું ગજગજ ફૂલે છે. આ પ્રસંગે 500 ફોટોગ્રાફ્સ ધરાવતી એક 'કોફી ટેબલ બૂક' પણ પ્રકાશિત કરવામાં આવી છે. 'ધર્મજમાં દર વર્ષે 'ધર્મજ રત્ન' અને 'ધર્મજ ગૌરવ' જેવા એવોર્ડ અપાય છે. આ એવોર્ડ માટે કોની પસંદગી થાય છે તે અંગે રાજુ પટેલે કહ્યું કે, ધર્મજમાં દર વર્ષે અમે એવા રત્નોને શોધીએ છીએ જેમણે ગામનું નામ રોશન કર્યું હોય. જો તેઓ હયાત હોય તો તેમને રૂબરૂ બોલાવીને અને જો દેવલોક પામ્યા હોય તો તેમના પરિવારને બોલાવીને સન્માનિત કરીએ છીએ. જેમ કે ડૉ. એચ.એમ. પટેલ, જે અમારા ગામની બીજી ઓળખ છે અને દેશના નાણાંમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય જિમ્નેસ્ટિકમાં અર્જુન એવોર્ડ વિજેતા કૃપાલી પટેલ, ક્રિકેટમાં દિલીપ ટ્રોફી રમનાર જયપ્રકાશ પટેલ, સાહિત્ય જગતના ધીરુબેન પટેલ અને લંડનમાં ચિત્રકળા ક્ષેત્રે નામના મેળવનાર મીનાબેન પટેલ જેવા અનેક મહાનુભાવો છે.' તેઓ આગળ જણાવે છે કે દર વર્ષે અમે 'ધર્મજ રત્ન' અને 'ધર્મજ ગૌરવ' જેવા એવોર્ડ આપીને પ્રતિભાઓનું સન્માન કરીએ છીએ. એવોર્ડમાં અમે ધર્મજના ઐતિહાસિક ટાવરની પ્રતિકૃતિ આપીએ છીએ, જે ડ્રોઇંગ રૂમમાં હોય તો પણ ગામના પાદરમાં બેઠા હોવાનો અહેસાસ કરાવે છે. યુવાનો માટે અમે બે નવા એવોર્ડ શરૂ કર્યા છે, જેમાં 'ધર્મજ જ્યોત' (યુવાનો માટે) અને 'ધર્મજ જ્યોતિ' (યુવતીઓ માટે) કેટેગરી ઉમેરી છે. અમે તેમને એવોર્ડ માટે રૂબરૂ બોલાવીએ છીએ જેથી તેઓ ગામમાં આવે. 'આ વખતે પહેલી વખત એક પ્રયોગ તરીકે અમે 'ઇન્સ્ટિટ્યૂશનલ એવોર્ડ' આપવાના છીએ. 'પટેલ પ્રિન્ટિંગ પ્રેસ પ્રા.લી.' 1963માં ચાલુ થયું હતું, જે આજે ત્રીજી પેઢીએ ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે. દર વર્ષે પ્રિન્ટિંગ ટેકનોલોજીના ઘણા નેશનલ એવોર્ડ તેમને મળે છે.' 'મને જાણીને આશ્ચર્ય થયું હતું કે, અંબાણી અને અદાણી પરિવારને ત્યાં જે લગ્ન પ્રસંગો થયા, તેની ઇમિટેશન કાર્ડસ ત્યાં જ છપાયા હતા. માઇક્રોસોફ્ટની ડાયરી પણ ત્યાં જ છપાઈ હતી. આ વખતે આવો એક જ એવોર્ડ આપવાનો છે. અમે નક્કી કર્યું છે કે જો યોગ્ય ઉમેદવાર ના મળે તો એવોર્ડ કોઈને નહીં આપવાનો, પણ એવોર્ડની ગરિમા જળવાઈ રહેવી જોઇએ.' 'ધર્મજ માટે એમ કહેવાય છે કે તે 'સંતો, શહીદો અને શૂરવીરોની ભૂમિ' છે. શૂરવીરતાની બાબતમાં આસપાસમાં બધાને ખબર છે કે ક્યાંય પણ કોઈ કુદરતી આફત આવે તો ધર્મજના લોકો પહેલા પહોંચી જાય છે. શહીદોની વાત કરીએ તો 18 ઓગસ્ટ, 1942ના રોજ અડાસ મુકામે પોલીસે ગોળીબાર કર્યો હતો ત્યારે અમારા ગામના રમણભાઇ શહીદ થયા હતા. 9મી ઓગસ્ટે ગાંધીજીએ 'ભારત છોડો' નો નારો આપ્યો ત્યારે તેનું બધું સાહિત્ય છાપીને રમણકાકા અને બીજા યુવાનો વડોદરાથી આણંદ આવ્યા હતા.' 'તેઓ આણંદમાં સાહિત્ય વેચતા હતા અને પોલીસને ખબર પડી ગઈ, એટલે કોઈએ તેમને કહ્યું કે પોલીસ તમારી પાછળ પડી છે. તેમણે નક્કી કર્યું કે ખેતરોમાં થઈને અડાસ જઇશું અને ત્યાંથી ટ્રેનમાં બેસીને પાછા વડોદરા જતા રહીશું. પરંતુ બ્રિટિશ પોલીસને ખબર પડી જતાં તેઓ અડાસ રેલવે સ્ટેશને પહોંચી ગયા અને હથિયાર વગરના છોકરાઓને લાઈનમાં ઊભા રાખીને ગોળીબાર કર્યો. જેમાં પાંચ યુવાનો મૃત્યુ પામ્યા હતા. ત્યાં પણ તેમનું સ્મારક છે અને તેમની ડેડબોડી ગામમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેથી ગામના 'વન વ્યાયામ મંદિર'માં આજે પણ તેમની ખાંભી છે. રમણભાઈની ખાંભી પર દર 18 ઓગસ્ટે સવારે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરીએ છીએ.' ગામ સાથે જોડાયેલા સંતોની વાત કરતાં તેમણે કહ્યું, સંતોની વાત કરીએ તો અમારે ત્યાંથી વિવિધ સંપ્રદાયો જેવા કે વડતાલ, બી.એ.પી.એસ. (BAPS), અનુપમ મિશન, હરિધામ સોખડા અને જૈન સમાજમાં થઈને વિવિધ સમયે 19 સંતો થયા છે અને 'ગુણાતીત જ્યોત'માં બે બહેનો સાધ્વી થયા છે. આમ, ધર્મજમાં 'સંતો, શહીદો અને શૂરવીરોની ભૂમિ' હોવાનું સાર્થક થાય છે. 'ગામ પાસેથી હાઇવે નીકળ્યો એટલે રોડના કામ માટે અમે આખું જલારામ મંદિર તોડીને ખસી ગયા અને ત્યાં મોટું મંદિર બનાવ્યું. જેને આજે 10 વર્ષ થયા. તેના પાટોત્સવમાં અમે એક અનોખો પ્રયોગ કરવાના છીએ. ધર્મજમાંથી જે 21 સંતો અને સાધ્વી થયા છે, તેમાંથી જેઓ હયાત છે તેમને આમંત્રણ આપીને બોલાવીશું. તેમનું પૂજન, અર્ચન અને સન્માન થાય તેવું વિચાર્યું છે. આ કારણે ધર્મજને ચરોતરનું પેરિસ કહેવાય છેધર્મજના વતની કૃષ્ણકાંત ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધર્મજ ગામના ઇતિહાસમાં અમે એક જ પિતાની વસતિ છીએ. અમારા મુખ્ય બાપા રંગાબાપા હતા, જે સોજીત્રા પાસેના વિરોલ ગામથી અહીં આવીને વસેલા. વસતિ વધતી ગઈ અને આજે 13 પેઢીએ પણ અમે એક જ પિતાની વસતિ છીએ. વિદેશમાં અમારી વસતિ બહુ છે. એ બધા લોકો બહાર રહીને મહેનત કરીને કમાયા અને પૈસા અહીંયા મોકલ્યા. 'ધર્મજમાં અત્યારે 11 નેશનલાઇઝ બેંકો છે, જ્યાં લોકો એફ.ડી. કરે છે, તેથી તેઓ 'રિચેસ્ટ મિલેનિયોર્સ' તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ લોકો કહેતા આવ્યા છે કે ધર્મજ એ 'ચરોતરનું પેરિસ' છે. સુવિધા સારી, રહેવાની સગવડ સારી, ચોખ્ખાઈ અને ઉત્તમ એજ્યુકેશન. દેશના પ્રથમ નાણાંમંત્રી એચ.એમ. પટેલના નામની અહીં સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ છે. અહીં 'જલારામ જન સેવા ટ્રસ્ટ' છે જે હોસ્પિટલ ચલાવે છે. એટલે જ તેની સરખામણી પેરિસ સાથે કરવામાં આવે છે.' તેમણે વધુમાં કહ્યું કે, તેઓ બહાર નીકળ્યા એટલે અમને પ્રેરણા મળી કે ભણી-ગણીને કમાઇએ અને પોતાના ગામ તેમજ પરિવારને સમૃદ્ધ કરીએ. તમે વિશ્વના કોઈપણ દેશના નકશા પર આંગળી મૂકો, ત્યાં તમને ધર્મજનો એક પટેલ તો ચોક્કસ મળશે જ. ‘પહેલા પરિવારમાં દીકરા-દીકરીઓની સંખ્યા વધુ હતી અને જમીન-મિલકતો ઓછી હતી, તેથી આફ્રિકા જવાના સોર્સ વધારે હતા. કુંટુંબ ભાવના અને ભાઇચારો એવો હતો કે એક ભાઇ બીજાને વિદેશ લઈ જાય. એમ કરતાં કરતાં આજે બધા સુખી છે અને બધાને ધર્મજ પ્રત્યે અપાર પ્રેમ છે. ગામમાં અત્યારે યુવા વર્ગ ઓછો છે. છેલ્લા 10 વર્ષમાં ઘણા યુવાનો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે કેનેડા જતા રહ્યા છે. 21 વર્ષના થાય એટલે કેરિયર બનાવવા બહાર નીકળી જાય છે. 40 વર્ષથી ઉપરના લોકો અને સશક્ત વડીલો અત્યારે ગામમાં રહીને પોતાની સંભાળ રાખે છે.’ ‘ટાવર પણ અમારા ધર્મજનું ગૌરવ કહેવાય. તે હરિભાઈ નાથાભાઈએ તેમના પિતાજીના સ્મરણાર્થે બનાવ્યું હતું. તે પરિવાર પહેલાં રોડેશિયા ગયો હતો, જે અત્યારે ઝિમ્બાવે કહેવાય છે. તેઓ હજુ પણ અહીં આવતા હોય છે, જેમાંથી એક સભ્ય પ્રોફેસર છે. તે ટાવરને પણ 85 થી 90 વર્ષ જેવું થયું હશે.’ RRR ફિલ્મનું જે મકાનમાં શુટિંગ થયું હતું તે મકાન પછીથી શુટિંગ હાઉસ તરીકે ઓળખાય છે. જો કે શુટિંગ ગ્રામજનોને હાલાકી થતાં હવે તેના પર પ્રતિબંધ મુકી દેવાયો છે. શુટિંગ હાઉસના માલિક ભૂપેન્દ્રભાઇ રાવજીભાઇ પટેલ કહે છે કે હું નિવૃત્ત જીવન જીવું છું અને સામાજિક કામ કરું છું. અમારો વિસ્તાર ટેકરા ફળિયાંથી ઓળખાય છે ત્યાં હું 15 વર્ષથી રહું છું. આ મકાનના મૂળ માલિકો સ્થળાંતર કરીને અમેરિકા જતાં રહ્યાં છે. આ મકાન ખરીદ્યું છે. ‘આ મકાનની કોતરણી, સ્ટ્રક્ચરને લઇને અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમારા ઘરે આવે છે અને ફોટાં સહિતનો અભ્યાસ કરવા આવે છે અને તેમને હું પુરતી મદદ કરું છું. કોઇપણ ડાયરેકટર આવે તે પહેલાં મારા જ ઘરે આવે છે. રો (Romeo Akbar Walter) ફિલ્મના ડાયરેક્ટરોએ એક મહિના સુધી અમારા ગામમાં સર્વે કર્યો હતો. તેમને મારું મકાન ખૂબ જ પસંદ આવ્યું, તેથી તેમણે શૂટિંગ માટે મારી મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે જોન અબ્રાહમ અહીં આવશે અને તમારા મકાનમાં શૂટિંગ કરવાનું છે. મેં તેમને મંજૂરી આપી અને શૂટિંગ માટે જરૂરી રિનોવેશનથી માંડીને તમામ બાબતોમાં પૂરતો સહકાર આપ્યો. મારા સહકારથી તેઓ એટલા ખુશ થયા હતા કે તેમણે મને ખાસ કહ્યું હતું, આ હવેલી કોઈને આપતા નહીં, અમે ફરી અહીં શૂટિંગ માટે આવીશું. ત્યારબાદ વડોદરા સ્થિત ડાયરેક્ટર કિશોરભાઈ ફરીવાર આવ્યા હતા. મહિના પહેલાં તેમનો ફોન આવ્યો કે તેઓ જેકી શ્રોફની ફિલ્મનું શૂટિંગ અહીં કરવા માંગે છે. તેમણે મને પંચાયતને સમજાવવાની અને મંજૂરી અપાવવાની જવાબદારી લેવા કહ્યું. મેં તેમને જણાવ્યું કે, તમે રૂબરૂ આવો, આપણે સાથે મળીને પંચાયત ઓફિસે જઈશું અને વાત કરીશું. જો પંચાયત મંજૂરી આપશે, તો હું તમને તમામ પ્રકારનો સહકાર આપીશ. ત્યારે તેમણે 'ઓકે, પછી આવીશું' તેમ કહી વાત પૂરી કરી હતી.’
ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાવનગર અને અમરેલી જિલ્લાની 16 નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ઈજનેર (એ.એચ.એમ.), સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના મેનેજર તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભાગ લીધો હતો. એમ્પાવરીંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્ગ્ધનિંગ અર્બન ફ્યુચર્સ તથા ટ્રેઈનિંગ ટુડે ફોર સ્માર્ટર સીટીઝ ટુમોરોની ટેગ લાઈન હેઠળ પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોનની કચેરી દ્વારા પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને ભાવનગર અને અમરેલી જિલ્લાની નગરપાલિકાઓના અધિકારી અને કર્મચારીઓ માટે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે પાણી પુરવઠા અંગેની તાલીમ યોજવામાં આવી હતી. તાલીમમાં કુલ 120 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી પુરવઠા સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓને નવીન તકનીકો, જાળવણી પ્રક્રિયા, પાણીની ગુણવત્તા નિયંત્રણ તેમજ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ માટે સુસજ્જ કરવાનો છે. તાલીમ કાર્યક્રમમાં પાણી શુદ્ધિકરણ, પાઇપલાઇનની જાળવણી, લીકેજ નિયંત્રણ, પાણી બચતના ઉપાયો, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પુરવઠા વ્યવસ્થાની કાર્યક્ષમતા વધારવા અંગે સમજૂતિ આપવામાં આવી હતી. તેમજ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ પ્રક્રિયા અને જનજાગૃતિ કાર્યક્રમોની મહત્વતા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિવિધ યોજના અને તેના હેતુવર્ષ 2025-26માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત 2.0 યોજના, 15મું નાણાપંચ, આઇકોનિક રોડ વિકસાવવા, ઉપરાંત સ્વચ્છતા અને અન્ય બાબતો માટે બજેટ ફાળવવા આવેલ છે. જે ગત વર્ષ કરતા 40 % વધુ છે, આ વધુ ગ્રાન્ટ ફાળવવાનો ઉદ્દેશ લોકોને ગુણવત્તાયુક્ત પાણી અને સારા રસ્તાઓ આપવા, શહેરની સફાઈ અને પર્યાવરણ સુધારો તેમજ વહીવટી કામગીરીનું ડિઝિટલાઇઝેશન કરવાનો છે

33 C