મોરબીમાં શિવરાત્રિ પર્વ નિમિત્તે સમસ્ત સતવારા સમાજ અને જય મહાકાલ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા, જેના કારણે શહેર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શક્તિધામ ખાતેથી શરૂ થયેલી આ શોભાયાત્રા વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાષ રોડ, પરા બજાર, નગર દરવાજા અને રવાપર રોડ થઈને મોટેશ્વર મહાદેવ મંદિરે સમાપ્ત થઈ હતી. શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમસ્ત સતવારા સમાજ ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, સમસ્ત સતવારા સમાજ અને જય મહાકાલ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રિના દિવસે આ શોભાયાત્રાનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. શિવરાત્રિ નિમિત્તે વિશ્વભરના શિવ મંદિરોમાં પૂજન-અર્ચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે પોતાની જ પાર્ટી કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો તેમને પક્ષ છોડતા વાર નહીં લાગે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. વાંસદામાં જનમેદનીને સંબોધતા અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે. તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા અન્યાય સામે લડતા આવ્યા છે અને ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભા રહેશે. પોતાના સંબોધનમાં અનંત પટેલે કહ્યું કે, હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે. ધારાસભ્યએ આદિવાસી સમાજના ઉત્થાન માટે ચાર મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમાં આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સમાજની મહિલાઓને સુરક્ષિત વાતાવરણ, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ અને આદિવાસી યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. ગુજરાતના રાજકારણમાં આદિવાસીઓના મોટા નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલનું આ નિવેદન આગામી સમયમાં કોઈ મોટા રાજકીય ઉથલપાથલના સંકેત આપી રહ્યું છે.
વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક્સપ્રેસ હાઈવે પરથી વોશિંગ મશીન અને ચીમનીના બોક્સની આડમાં છુપાવેલો 41.73 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. LCBના પીઆઈ કે. આર. સિસોદિયા તથા તેમની ટીમને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત વોચ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે રાત્રીના સમયે PSI પી. કે. ભુતની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ટાટા કંપનીના કંટેનરમાં વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ ભરેલા છે, પરંતુ તેની આડમાં વગર પરમિટનો વિદેશી દારૂ ભરેલો છે. આ કંટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે LCB ટીમે આજોડ ગામ પાસેના એક્સપ્રેસવે ટોલનાકા નજીક વોચ રાખી હતી. કંટેનર આવતાં જ પોલીસે તેને ઘેરી લીધું હતું અને પોલીસ તપાસમાં ડ્રાઈવર જુનેદખાન મુબીનખાન ખાન (રહે. કંસાલી, નગીના, જિ. નુહ, મેવાત, હરિયાણા) અને અન્ય વ્યક્તિ રોબિનખાન શાહબુદ્દીન ખાન (રહે. આમકા, ફરીઝપુર જિરકા, જિ. નુહ, મેવાત, હરિયાણા) મળી આવ્યા હતા. કંટેનરની તપાસમાં વોશિંગ મશીનના 96 બોક્સ અને ચીમનીના 5 બોક્સ અંદર છુપાવેલા હતા અને તેમાંથી 41.73 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 260 પેટીઓ મળી આવી હતી. કુલ 64.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે દારૂ અમજદખાન (રહે. ભાદરા, નગીના, જિ. નુહ, હરિયાણા) અને અમરમાન ખાન (રહે. નુહ, તાવડુ રોડ, હરિયાણા) દ્વારા ભરાવવામાં આવ્યો હતો. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે 15 કિલોમીટર દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં પ્રાચીન ઝરીયા મહાદેવ મંદિર આવેલું છે. આ શિવાલય તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે, જ્યાં ગુફાની દિવાલોમાંથી બારેમાસ શિવલિંગ પર સ્વયંભૂ જળાભિષેક થાય છે. કુદરતી રીતે બનેલી ગુફાઓમાં સ્થાપિત આ શિવલિંગ પર ચોવીસ કલાક મીઠા જળનો અભિષેક સતત થતો રહે છે. ગુફાની દિવાલોમાંથી આવતા આ પાણીનો મૂળ સ્ત્રોત અને તે ક્યાંથી આવે છે, તે રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. ચોટીલા પંથક, જે 'પંચાળ' તરીકે પણ ઓળખાય છે, તે સંતો અને શૂરાઓની પવિત્ર ભૂમિ મનાય છે. લોકવાયકા અનુસાર, પાંડવો અહીં પૂજા કરતા હતા અને દ્રૌપદીનો સ્વયંવર પણ આ પંચાળ ભૂમિમાં થયો હતો. આ વિસ્તાર અનેક પ્રાચીન મંદિરો અને ગુફાઓ ધરાવે છે. ઝરીયા મહાદેવ શિવાલયની સામે જ એક અન્ય ગુફા આવેલી છે, જેમાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત છે. શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી શિવભક્તો, પર્યટકો અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ રમણીય સ્થળની મુલાકાત લે છે. ચારેબાજુ છવાયેલી હરિયાળી અને કુદરતી સૌંદર્ય પર્યટકોને મંત્રમુગ્ધ કરે છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચીન અને સુંદર સ્થળોમાં ઝરીયા મહાદેવ મંદિરનું આગવું મહત્વ છે, જે પ્રકૃતિ અને ભક્તિનો અદ્ભુત સંગમ રજૂ કરે છે.
વડોદરા નજીક કારની અડફેટે એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારચાલકે દીપડાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવની જાણ થતાં વનવિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને દિપડાના મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. કાર ચાલક પૂરપાટ ઝડપે આવી ને દીપડાને અડફેટે લીધોવડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે દીપડા જોવા મળે છે. ખોરાકની શોધમાં તેઓ આમ તેમ ફરતા રહે છે. પાદરા નજીક વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હતું. સુરત તરફથી કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો દરમિયાન માર્ગ ઓળંગી રહેલા દીપડાને ટક્કર મારી હતી. અકસ્માતમાં દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગે મૃતદેહને પીએમમાં ખસેડ્યોબનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. દીપડો એ શિડયુઅલ 1ની પ્રાણી હોવાથી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે અને કારચાલક સામે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવશે.
રાજકોટ શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરની નંદવાણાં બોર્ડિંગ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનોખા સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠનું આયોજન કરાયુ હતુ. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવની આરાધના કરવામાં આવી હતી. વિવિધ જ્ઞાતિના લોકો જોડાતા સામાજિક સમરસતાના દર્શન થયા હતા. આ સમયે સમગ્ર સંકુલ 'હર હર મહાદેવ' અને 'નમઃ શિવાય' ના નાદથી ગુંજી ઉઠ્યું હતુ. બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે, બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ પાઠાત્મક લઘુ રુદ્રનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં માત્ર બ્રહ્મ સમાજ જ નહીં પરંતુ વિવિધ જ્ઞાતિના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહીને મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતુ. આ આયોજન દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે, બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે આ પ્રકારે સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નંદવાણા બોર્ડિંગ ખાતે સવારથી પૂજન શરૂ કરવામાં આવ્યું હતુ અને બપોરે તમામ શ્રદ્ધાળુઓ માટે ફરાળની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભરૂચમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી:શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, 'હર હર મહાદેવ'ના નાદ ગુંજ્યા
ભરૂચ શહેર અને જિલ્લાના શિવાલયોમાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શન, પૂજન અને અભિષેક માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય'ના જાપથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારથી જ શિવમંદિરો બહાર ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી દુગ્ધાભિષેક કર્યો હતો. શિવરાત્રી નિમિત્તે શહેર અને જિલ્લાના દેવાલયોને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા, અને મંદિરોમાં સતત મંત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા. શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા નદી કિનારે વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ભાવિકોએ કંકુ સહિતની પૂજાસામગ્રી અર્પણ કરી શિવજીની આરાધના કરી હતી. શહેર અને જિલ્લામાં ઘીના કમળ અને બરફના શિવલિંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દશાશ્વમેઘ ઘાટ ખાતે છેલ્લા નવ વર્ષથી કુંભ ગ્રુપ દ્વારા શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર અને મહાકાલેશ્વર મંદિરના દર્શનરૂપ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને મહાપ્રસાદીનું વિતરણ પણ કરાયું હતું. મકતમપુર સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેર અને જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશ્વશાંતિ અને લોકકલ્યાણ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બેરણાના કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં સ્થિત 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા સમક્ષ સવા મણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવી હતી. દર વર્ષની પરંપરા અનુસાર, યજમાનના હસ્તે મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરીને આ વિશાળ દિવેટ પ્રગટાવવામાં આવી હતી. દિવેટ પ્રગટાવવામાં આવતા જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને 'હર હર મહાદેવ'ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન શિવના જયઘોષ સાથે પૂજા-અર્ચના, અભિષેક અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ભગવાન શિવને નમન કર્યા હતા અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું હતું.
અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પગમાં યુવકને ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર, અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું છે. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના જ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને સમાધાન પણ થયું હતું. જોકે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ આજે મોન્ટુ અને યુવક બંને અમદાવાદ આવ્યા હતાં. ચાણક્યપુરી ખાતે ભેગા પણ થયા હતા. આ દરમિયાન બોલાચાલી થઈ ત્યારે મોન્ટુએ તેના પાસેની રિવોલ્વર વડે યુવકના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોન્ટુ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર મોન્ટુ દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…….
સુરેન્દ્રનગરના 83 મુસ્લિમ બિરાદરો હજ પઢવા જશે:રતનપર ખાતે રસીકરણ અને તાલીમ કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના 83 હજ યાત્રીઓને રતનપરના ખલ્યાણી હોલ ખાતે હજ પૂર્વેની તાલીમ અને રસીકરણ આપવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો મુસ્લિમ બિરાદરો હજ પઢવા સાઉદી અરેબિયા જશે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ યાત્રીઓ પણ સામેલ છે. ઝાલાવાડમાંથી 83થી વધુ બિરાદરો આ વર્ષે હજ માટે જઈ રહ્યા છે. સાઉદી અરેબિયામાં મક્કા-મદીના ખાતે 25મીથી 29મી મે દરમિયાન પાંચ દિવસ ખુદાની ઇબાદતનું મહત્વ છે. અમદાવાદથી ઝાલાવાડના હાજીઓને લઈને પ્રથમ ફ્લાઇટ આગામી એપ્રિલ મહિનામાં રવાના થશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલની સૂચનાથી હાજીઓને મેનીંગોકોકલ અને સીઝનલ ઇન્ફલુએન્ઝાની જરૂરી રસી આપવામાં આવી હતી. 60 વર્ષથી વધુ વયના હાજીઓને ઓરલ પોલિયો પણ અપાયો હતો. આ પ્રસંગે વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભરતભાઈ મેવાડા, આરોગ્ય વિભાગના મુનાભાઈ ચામડીયા અને નીલેશભાઈ સોની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજીઓને સાઉદી અરેબિયામાં કોઈ તકલીફ ન પડે તે માટે રતનપરના ખલ્યાણી હોલ ખાતે ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લાભરમાંથી આવેલા હાજીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હજ પર જવા સમયે સીમિત સામાનમાં દવાઓ સહિત કઈ કઈ વસ્તુઓ લઈ જવી તે અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. હજ કમિટીના સભ્ય અને ટ્રેનર રિયાઝ ખલ્યાણી સહિતનાઓએ હાજીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. માઝૂમ નદીના કિનારે આવેલા 900 વર્ષ જૂના પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ મંદિર પશ્ચિમાભિમુખ છે અને તેને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. તેની પ્રાચીનતા અને ધાર્મિક મહત્વને કારણે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોએ ભગવાન શિવલિંગ પર બીલીપત્ર, ધતૂરો, દૂધ, ઘી, દહીં અને મધ જેવી સામગ્રીઓથી અભિષેક કર્યો હતો. શિવભક્તોએ પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.
મોરબીના જેતપર રોડ પર આવેલા એક બંધ સિરામિક કારખાનામાં કામ કરતા યુવાનના મોત બાદ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપવા બદલ દાખલ કરવામાં આવ્યો છે. મોરબીમાં આ પ્રકારનો આ પહેલો બનાવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામે આવેલા લુકાસો સિરામિક નામના બંધ કારખાનામાં બની હતી. કારખાનામાંથી પતરા અને કેચી (એંગલ) ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ રાત્રિના સમયે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વગર કરવામાં આવી રહ્યું હતું. કામ દરમિયાન, ભવાનીનગર, વીસીપરા, મોરબીના રહેવાસી વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) 25 ફૂટ ઊંચી દીવાલ પરથી નીચે પટકાયા હતા. તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક વિક્રમભાઈના સાળા, વીસીપરા વિસ્તારમાં ગુજરાત ચક્કી પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરિયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જયદીપભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ (જેમણે કામ રાખ્યું હતું), અને કારખાનાના માલિકો જીતેન્દ્રભાઈ રંગપરિયા તથા અંબારામભાઈ રંગપરિયા સહિત પાંચ શખ્સોના નામ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ કામદારોની સુરક્ષામાં બેદરકારી દાખવી હતી અને ઘટના બાદ રાજ્ય સેવકને ખોટી માહિતી આપી હતી. મોરબી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે સાઅપરાધ માનવવધનો ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મસ્તેશ્વર, વિરાટેશ્વર અને વૈજનાથ મહાદેવ મંદિર સહિતના પ્રાચીન શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર દિવસે બપોરે 12વાગ્યે મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો અને મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ ભગવાન શંકરને બિલીપત્ર, દૂધ, જળ અને પુષ્પ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી. બોટાદના અનેક મંદિરોમાં રુદ્ર મહાભિષેક અને લઘુરુદ્ર જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મહાશિવરાત્રી ભારતીય સનાતન પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ પર્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાવદ તેરસના દિવસે ભગવાન શંકર પાતાળ લોકમાંથી પ્રગટ થાય છે. આ દિવસે શિવાલયોમાં ભાંગનો પ્રસાદ પણ અર્પણ કરવાની પરંપરા છે.
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે દક્ષિણ ગુજરાતમાં શિવમય માહોલ છવાયો છે. નવસારીના મધ્યમાં આવેલા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ ધામ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે ગ્રહોના વિશેષ નક્ષત્ર અને દુર્લભ સંયોગને કારણે મહાશિવરાત્રીનું મહત્વ અનેકગણું વધ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃકાળની પૂજા અને આરતી બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના મહારાજ અને સ્વયંસેવકોની ટીમે વ્યવસ્થા ગોઠવી છે. ભક્તો બહારથી પવિત્ર જળ મેળવી ગર્ભગૃહમાં મહાદેવનો અભિષેક કરી રહ્યા છે. નવસારી શહેર ઉપરાંત સમગ્ર જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દેવેશ્વર ધામ પહોંચી રહ્યા છે. શાસ્ત્રો અનુસાર, દર મહિને શિવરાત્રી આવે છે, પરંતુ મહા વદ તેરસ અને ચૌદસનો સમન્વય 'મહાશિવરાત્રી' તરીકે ઓળખાય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ વર્ષની રાત્રિ અત્યંત પ્રભાવશાળી મનાય છે. મંદિરમાં સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી ચાર પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. રાત્રિના ત્રીજા પ્રહર દરમિયાન (રાત્રે 12 થી 3) ગ્રહોની અત્યંત દુર્લભ સ્થિતિનો સંયોગ સર્જાયો છે, જેને આધ્યાત્મિક સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા અને લાઈનબદ્ધ દર્શન માટે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. મંદિરના મહારાજશ્રીએ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
અમદાવાદના રાંચરડા ખાતે આવેલા વીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે(15 ફેબ્રુઆરી) ગુજરાત હાઇકોર્ટના જજીસ અને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. ટેનિસ બોલથી રમાતી આઈ.એમ. નાણાવટી ક્રિકેટ ટુર્નામેન્ટની આજની મેચને લઈને બંને ટીમમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આજની મેચ જિંદાદિલી અને ખેલદિલીથી રમીશું: કમલ ત્રિવેદીઆ પ્રસંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતીમાં બે શબ્દો ખેલદિલી અને જિંદાદિલી જાણીતા છે. આજની મેચ તેઓ જિંદાદિલી એટલે કે હરીફાઈથી રમશે, જ્યારે ખેલદિલીથી જજીસને માન પણ આપશે. ‘જજીસ અને વકીલોની મેચ’આજે જજીસ અને વકીલોની ટીમ ઉપરાંત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ હાઇવોલ્ટેજ મેચ યોજાશે. ગઈકાલે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં જેવી રીતે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડમ માર્કરમે 19 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેવી જ રીતે વકીલોની ટીમ પર પર્ફોર્મન્સ આપશે. ટુર્નામેન્ટનું આયોજન પિતાના નામે થઈ રહ્યું હોવાનું ગૌરવ: સુધીર નાણાવટીસિનિયર એડવોકેટ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા દર વર્ષે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. બે વર્ષે પહેલા જજીસ અને વકીલો વચ્ચે મેચ યોજાઈ હતી. જજીસ અને વકીલો જ્યારે કોર્ટ રૂમમાં હોય છે, ત્યારે તેઓ વચ્ચે ડિસ્ટન્સ અને ફોર્માલિટી તેમજ પ્રોટોકોલ હોય છે. જ્યારે ગ્રાઉન્ડ ઉપર તેઓ એક વ્યક્તિ તરીકે રમે છે. ખેલદિલીની ભાવના સાથે માનસિક ડિસ્ટન્સ દૂર થાય છે. દેશમાં નાના બાળકથી લઈને વૃદ્ધોને પણ ક્રિકેટની રમતમાં સૌથી વધુ રસ છે. ત્યારે આ ટુર્નામેન્ટનું આયોજન તેમના પિતાના નામે થઈ રહ્યું હોવાનું તેમને ગૌરવ છે.
સાપુતારા ટેબલ પોઈન્ટ પર અકસ્માત:18 પ્રવાસીઓનો આબાદ બચાવ, ટેમ્પો ટ્રાવેલર રોપ-વે કેબિન સાથે અથડાયું
ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાપુતારા ટેબલ પોઈન્ટ પર એક ટેમ્પો ટ્રાવેલરને ગંભીર અકસ્માત નડ્યો હતો. બ્રેક ફેઈલ થતાં વાહન બેકાબૂ બન્યું હતું, પરંતુ સદનસીબે 18 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી સાપુતારા ફરવા આવેલા અંદાજે 18 પ્રવાસીઓ આ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર હતા. ટેબલ પોઈન્ટ પરથી નીચે ઉતરતી વખતે અચાનક બ્રેક ફેઈલ થતાં વાહન ઝડપથી આગળ વધ્યું અને રોપવે કેબિન સાથે અથડાયું હતું. આ અથડામણથી વાહન ખાઈમાં પડતું અટક્યું અને મોટી દુર્ઘટના ટળી. અકસ્માતમાં તમામ 18 પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને નજીકના સાપુતારા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ તમામ પ્રવાસીઓની તબિયત સ્થિર છે અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે આ જ સ્થળે અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો. તે ઘટનામાં ઘોડવહળ ગામના ભગુભાઈ પાંડુરંગભાઈ દેશમુખનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. આથી ટેબલ પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બ્રેક ફેઈલ થવું એ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ પર્યટન સ્થળોએ વાહનચાલકો માટે તકેદારી રાખવાની અને વાહનોની નિયમિત તપાસ કરવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.
હિંમતનગરના બેરણામાં શિવરાત્રીએ નર્મદેશ્વર મહાદેવની પૂજા:મહાકાલી માતાજી મંદિર ખાતે ભવ્ય આરતી યોજાઈ
હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલા મહાકાલી માતાજી મંદિરમાં શિવરાત્રિ નિમિત્તે નર્મદેશ્વર મહાદેવનું વિધિવત પૂજન અને આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ છવાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવનું અભિષેક પૂજન કરાયું હતું. ત્યારબાદ ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં મહંતો, ભક્તો અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ નર્મદેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર પરિસર 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યા:મહેસાણાના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
મહેસાણા જિલ્લામાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે જિલ્લાના નાના-મોટા તમામ શિવાલયો 'હર હર મહાદેવ' અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને મહેસાણા શહેરના અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યોમહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોવાથી, ભક્તો લાંબી કતારોમાં ઉભા રહી શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભીમનાથ મહાદેવ મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.દિવસ દરમિયાન ભક્તો દ્વારા કરવામાં આવતી પૂજા-અર્ચના બાદ મોડી રાત્રે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શિવની વિશેષ 'ચાર પ્રહારની પૂજા' કરવામાં આવશે. આ મહાપૂજા અને આરતીના દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જામીમહેસાણા શહેરના અતિ પ્રાચીન એવા ભીમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરમાં દિવસ દરમ્યાન ભક્તો દ્વારા પૂજા અર્ચના બાદ મોડી રાત્રે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ચાર પ્રહારની પૂજા કરવામાં આવશે, જેના દર્શનનો લાભ હજારો ભક્તો લેશે. વડનગરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજનવડનગરમાં મહાશિવરાત્રિના પવિત્ર અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શહેર અને આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને જલાભિષેક માટે આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાયું છે. સવારે 7 વાગ્યે મંગળ આરતીથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે જલાભિષેક અને પૂજન વિધિ યોજાઈ રહી છે.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા છે. સતલાસણામાં ‘કૈલાસ ટેકરી’ ખાતે ભક્તોનું ઘોડાપૂરસતલાસણા સ્થિત સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના આ અવસરને યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરના ભરચક માણેકચોક વિસ્તારમાં એક અનોખો બનાવ બન્યો હતો. અહીં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર એક અજાણ્યો યુવક ચડી ગયો હતો. યુવકે પ્રતિમાને આલિંગન આપ્યું હતું, ફૂલોથી વધાવી હતી અને ચુંબન પણ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જાહેર સ્થળે બનેલી આ અસામાન્ય ઘટનાને કારણે લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો યુવકને માનસિક રીતે અસ્વસ્થ ગણાવી રહ્યા હતા, જ્યારે અન્યો તેને નશાની હાલતમાં હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કીર્તિમંદિર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ભારે જહેમત બાદ યુવકને પ્રતિમા પરથી નીચે ઉતાર્યો હતો અને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ પોલીસ દ્વારા યુવકની માનસિક સ્થિતિ અને તે નશામાં હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
વલસાડ શહેર નજીક આવેલું 800 વર્ષ જૂનું તડકેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મહાશિવરાત્રિના પાવન પર્વે અહીં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરના પૂજારી વિનોદભાઈ મહારાજે આ મંદિરના ઇતિહાસ અને તેની વિશેષતાઓ વિશે માહિતી આપી હતી. પૂજારી વિનોદભાઈ મહારાજના જણાવ્યા અનુસાર, આ મંદિરનો ઇતિહાસ લગભગ 800 વર્ષ જૂનો છે. તે સમયે આ સ્થળે ગાઢ જંગલ હતું. વાંકી નદીના કિનારે એક શીલા (શિવલિંગ) પર એક ગાય રોજ આપમેળે દૂધની ધાર કરતી હતી. ગાયના માલિકે આ ઘટના જોયા બાદ સ્થાનિક લોકોએ તે શીલાને ઉંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિવલિંગ એટલું ભારે હતું કે કોઈ તેને હલાવી શક્યું નહીં. ઇતિહાસમાં નોંધાયેલી અન્ય એક ઘટના મુજબ, કેટલાક લોકોએ આ શિવલિંગને હથોડી વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે શિવલિંગમાંથી અચાનક મોટી સંખ્યામાં મધમાખીઓ નીકળી હતી, જેના કારણે તોડવાનો પ્રયાસ કરનાર લગભગ 60 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ લોકોની યાદમાં મંદિરથી થોડે દૂર 'શાંતિ પીર'ની દરગાહ આવેલી છે, જે કોમી એકતાનું પ્રતીક પણ ગણાય છે. મંદિરના નામ 'તડકેશ્વર મહાદેવ' પાછળ પણ એક વિશેષ કારણ છે. અગાઉ અહીં ઘાસનું અને ત્યારબાદ પતરાનું મંદિર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કુદરતી રીતે તે ટકી શક્યું નહોતું. ભગવાન શિવએ સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો હતો કે તેમને બારેમાસ તડકો, વરસાદ અને ઠંડી જોઈએ છે. આ આદેશને પગલે, 1992માં નવું મંદિર બનાવવામાં આવ્યું, જેના શિખરનો 22 ફૂટનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને કારણે બપોરના સમયે સૂર્યના કિરણો સીધા જ શિવલિંગ પર પડે છે. આ જ કારણથી આ મંદિર 'તડકેશ્વર' મહાદેવ તરીકે ઓળખાય છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે. ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને શિવલિંગ પર અભિષેક, પૂજા-અર્ચના અને બીલીપત્ર ચઢાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે પીવાના પાણી અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાનો ગુમ યુવાન ઝઘડીયા GIDC પોલીસને મળ્યો:માનસિક અસ્થિરતાને કારણે પરિવારથી વિખૂટો પડ્યો હતો
વડોદરાથી ગુમ થયેલા એક યુવાનને ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસે શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત રીતે પરત સોંપ્યો છે. યુવાન માનસિક અસ્થિરતાને કારણે પરિવારથી વિખૂટો પડ્યો હતો. ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ. મહેરીયાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનોને પરત સોંપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, 14 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે ઝઘડીયા પોલીસ દધેડા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાત્રે આશરે 12:30 થી 1:00 વાગ્યાની આસપાસ એક યુવાન હોન્ડા યુનિકોર્ન મોટરસાઈકલ સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે યુવાનની પૂછપરછ કરી તેને પોલીસ સ્ટેશન લાવી તેના વાલીવારસદારોનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે વડોદરાનો રહેવાસી છે. યુવાન 12 ફેબ્રુઆરી 2026 ના રોજ તિલકવાડાથી પોતાના માતા-પિતા સાથે અલગ-અલગ મોટરસાઈકલ પર વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે રસ્તો ભૂલી જતાં પરિવારથી છૂટો પડી ગયો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે યુવાન માનસિક રીતે થોડો અસ્થિર છે. ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસે યુવાનને શોધી કાઢી તેના વાલીવારસદારોને સહીસલામત સોંપ્યો હતો. પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેર હવે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે પણ વૈશ્વિક ફલક પર પોતાનું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા, તાલ ગ્રુપ અને રંગિનીના સંયુક્ત ઉપક્રમે સુરત સાયન્સ સેન્ટર ખાતે 'નાયિકા 5.0' અને 'રંગિની' ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં લોકકલા અને લોકનૃત્યના સંગમ દ્વારા એક નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમતાલ ગ્રુપના ફાઉન્ડર ડિરેક્ટર અને કોરિયોગ્રાફર આર્કિટેક્ટ કૃતિકા શાહે જણાવ્યું હતું કે, 'નાયિકા' એ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ સ્ત્રીત્વ અને નારી શક્તિની ઉજવણીનું એક માધ્યમ છે. આગામી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ તૈયારીરૂપે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 'રંગિની' અંતર્ગત વિવિધ પ્રકારના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતની વિસરાતી જતી અને સમૃદ્ધ હસ્તકલાઓને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. પદ્મશ્રી કલાકારોનું માર્ગદર્શનઆ પ્રદર્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભારતના ખ્યાતનામ પદ્મશ્રી કલાકારોએ હાજરી આપી છે. પીઠોરા કલાના નિષ્ણાત પરેશભાઈ રાઠવાએ બાળકોને આ આદિવાસી કલા વિશે માર્ગદર્શન આપ્યું છે. રાજસ્થાનની સુવિખ્યાત મોલેલા મૂર્તિકળાના કલાકાર પ્રશાંતભાઈ પણ આ ઉત્સવમાં સહભાગી થયા છે. સાથે વારલી ચિત્રકળાના જાણીતા કલાકાર મહેશભાઈ દ્વારા સુરતના હજારો બાળકોને આ કલાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. હજારો બાળકો અને કલાકારોની ભાગીદારી13મી ફેબ્રુઆરીના રોજ આયોજિત વિવિધ વર્કશોપ્સમાં સુરતની વિવિધ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ નાના બાળકોએ પદ્મશ્રી કલાકારો પાસેથી સીધું શિક્ષણ મેળવીને પોતાની આંતરિક કલાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરતના સ્થાનિક કલાકારોએ પણ પોતાની કૃતિઓ આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરી છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ નોંધાવ્યોકૃતિકા શાહે વધુમાં ઉમેર્યું હતું કે, આજે 14મી ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક ક્ષણ આવી છે. એક જ પ્લેટફોર્મ પર સૌથી વધુ સંખ્યામાં લોકનૃત્ય (Folk Dance) અને લોકકળા (Folk Art) ના કલાકારો એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. આ અદ્ભુત સિદ્ધિ બદલ 'એશિયા બુક ઓફ રેકોર્ડ્સ' અને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' ના પ્રતિનિધિઓ સુરત આવ્યા છે અને આયોજકોને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ સુરત માટે ગૌરવ સમાન છે કારણ કે આટલી મોટી સંખ્યામાં લોક સંસ્કૃતિનું પ્રદર્શન અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.
મહાશિવરાત્રીના પાવન પર્વે સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો. આ અવસરે દાદાને શિવજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, સાથે જ પૂજન અને દિવ્યાંગ વંદના સહિતના સામાજિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મહાશિવરાત્રી નિમિત્તે હનુમાનજી દાદાને શિવસ્વરૂપના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમના સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી શિવ થીમ આધારિત આકર્ષક શણગાર કરાયો હતો. આ વાઘા સાત દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મંદિર પરિસરમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરે પણ વિશેષ પૂજન, અભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. લઘુરુદ્ર યજ્ઞ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજીને શિવસ્વરૂપમાં શણગારવામાં આવ્યા છે. તેમણે સર્વે ભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પાવન પર્વ નિમિત્તે 'દિવ્યાંગ વંદના સમારોહ'નું પણ આયોજન કરાયું હતું. જેમાં મંદિર પ્રશાસન દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને વ્હીલચેર પર બેસાડીને દાદાના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના બાળઆયોગના ચેરમેન ધરમીષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા દિવ્યાંગોના સન્માન કાર્યક્રમને બિરદાવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દર્શન કરવા લાંબી કતારો લગાવી હતી અને મહાદેવના સ્વરૂપમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં શનિવારે રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નવાપુરા ડીકેએમ પોલીસ ચોકી પાસે એક યુવક બાળક ઉઠાવવા આવ્યો હોવાની આશંકાએ ઉશ્કેરાયેલા ટોળાએ તેને ઢોર માર માર્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી યુવકને ટોળાની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જોકે એમ્બ્યુલન્સ રોકતા પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. અફવાને પગલે સેંકડો લોકોનું ટોળું એકઠું થઈ ગયુંશનિવારે મોડી રાત્રે નવાપુરા વિસ્તારમાં એક અજાણ્યો યુવક શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થયો હતો. જોતજોતામાં બાળક ચોર આવ્યો છે તેવી અફવા વાયુવેગે પ્રસરી ગઈ હતી. અફવાને પગલે ગણતરીની મિનિટોમાં સેંકડો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ કાંઈ પણ વિચાર્યા વગર યુવક પર હુમલો કરી દીધો હતો અને તેને રસ્તા પર ઢોર માર માર્યો હતો. બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળા વચ્ચેથી લોહીલુહાણ હાલતમાં રહેલા યુવકને બચાવી લીધો હતો. એમ્બ્યુલન્સ રોકી, પોલીસ પર દબાણ વધાર્યુંજ્યારે પોલીસે ઘાયલ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખસેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકો વધુ આક્રોશિત થયા હતા. ટોળાએ એમ્બ્યુલન્સનો રસ્તો રોકી યુવકને સોંપવાની માગ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસતી જોઈ પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું અને યુવકને હોસ્પિટલ ભેગો કર્યો હતો. લોકોને કાયદો હાથમાં ન લેવા તંત્રની અપીલપોલીસે લોકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર શંકા જાય તો કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી. સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. બે દિવસ પહેલા પણ ઉન વિસ્તારમાં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો, જેમાં પણ યુવતી ભીખ માંગવા આવી હોવાની વાત સામે આવી હતી.
આજે મહાશિવરાત્રિના મહાપર્વે રાજકોટના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે. શહેરના 500 વર્ષ જૂના રામનાથ મહાદેવ મંદિરે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. અહીં સવારે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે રામનાથ મહાદેવને શીશ ઝુકાવવા યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડયું હતુ, જેઓને ભાંગની પ્રસાદી આપવામાં આવી હતી. જોકે આ પૌરાણિક મંદિરનો મહાપાલિકા દ્વારા જીર્ણોદ્ધાર થાય તેવું મંદિરના સેવકો અને ભક્તો ઈચ્છી રહ્યા છે. 9 વાગ્યે મહાદેવની પંચવકત્ર પૂજાઃ નિશાંતગિરીરાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરના મહંત નિશાંતગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવ મંદિર 500 વર્ષ જૂનું સ્વયંભૂ મંદિર છે. આજે શિવરાત્રીનું મહાપર્વ હોવાથી ભક્તોમાં અનોખી આસ્થા અને શ્રદ્ધા જોવા મળી રહી છે. અહીં સવારે પાંચ વાગ્યાથી જલાભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે મહાપૂજા અને સાંજે 4 વાગ્યે શણગાર દર્શન, તેમજ 7.30 વાગ્યે મહા આરતી થશે. જે બાદ રાત્રે 9 વાગ્યે મહાદેવની પંચવકત્ર પૂજા અને રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવશે. આ મંદિરના જીર્ણોદ્ધારની જરૂર છેઃ બીપીન વાઢેરઆ ઉપરાંત મંદિરના સેવક બીપીન વાઢેરે જણાવ્યું હતું કે, રજવાડાઓ વખતનું આ સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે. આજે શિવરાત્રિના દિવસે વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી ભક્તો રામનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાધન જોવા મળી રહ્યુ છે. દરેક હિન્દુએ આજે ભોળાનાથને પોતાનું મસ્તક નમાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે, આ મંદિરના જીર્ણોદ્ધારની જરૂર છે અને સરકારને કંઈ કહેવાને બદલે સ્વયંભૂ આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અહીં જે પણ મનોકામના માગવામાં આવે તે પૂર્ણ થાય છેઃ આશાબા ગોહિલજ્યારે દર્શનાર્થી આશાબા ગોહિલે જણાવ્યું હતું કે, આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અહીં રામનાથ મહાદેવ પાસે જે પણ મનોકામના માગવામાં આવે તે પૂર્ણ થાય છે. આજે શિવરાત્રિના દિવસે અહીં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને મહાદેવના દર્શન પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય દર્શનાર્થી ભરતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, અહીં સ્વયંભૂ મહાદેવનું મંદિર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. જેમણે વિશ્વ શાંતિ માટેની મનોકામના કરી હતી.
ગુજરાતનું અનોખું શિવ મંદિર:સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરનો વહીવટ અને સેવા પોલીસ કરે છે
ગુજરાત પૌરાણિક મંદિરો માટે વિશ્વભરમાં જાણીતું છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના મંદિરો પોતાની આગવી વિશેષતા ધરાવે છે, પરંતુ સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલું ‘ઈચ્છાનાથ મહાદેવ મંદિર’ એક એવી વિશેષતા ધરાવે છે જે કદાચ સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ મંદિર રાજ્યનું એકમાત્ર એવું ધાર્મિક સ્થળ છે, જેનો સંપૂર્ણ વહીવટ કોઈ ખાનગી ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં, પરંતુ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રિના તહેવારને લઈ શિવ ભક્તોમાં શિવના દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી ઈચ્છાનાથ મહાદેવના મંદિરે ભારે સંખ્યામાં ભક્તોની લાગી છે. મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિર લગભગ 75 વર્ષથી પણ વધારે જૂનુંઈચ્છાનાથ મહાદેવ મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, આજે શિવરાત્રીના મહાપર્વ પર મંદિરમાં ભારે ભક્તોની ભીડો લાગી છે અને 25થી 30 પોલીસ કર્મચારીઓ દ્વારા મંદિરમાં સેવા અપાઈ રહી છે. આ મંદિર લગભગ 75 વર્ષથી પણ વધારે જૂનું છે. આ ગુજરાતનું પહેલું એવું મંદિર છે જ્યાં મંદિરનુ સમગ્ર સંચાલન અને વહીવટ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઈચ્છાના મહાદેવ બધા જ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. સાંજે 7:00 વાગ્યે પોલીસ કમિશનર મંદિરના દર્શન કરવા પહોંચશે અને આરતીનો લાભ લેશે. પોલીસકર્મી નીલમ મિશ્રાએ જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું છે આ મંદિરમાં ગુજરાત પોલીસ દ્વારા સેવા આપવામાં આવે છે અને કાર્યરત છે મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી છે અને બધા શાંતિથી દર્શન કરી રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવે છે મંદિરની સેવાસામાન્ય રીતે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોય છે, પરંતુ ઈચ્છાનાથ મહાદેવના દરબારમાં પોલીસ ‘વહીવટકર્તા’ અને ‘સેવક’ની ભૂમિકામાં જોવા મળે છે. સુરત શહેર પોલીસ કમિશનર હોદ્દાની રૂએ આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી ગણાય છે. મંદિરની દેખરેખ માટે એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓ પિતૃવત સેવા આપે છે. ભક્ત જેતલ દલાલે જણાવ્યું હતું કે અમે દર શિવરાત્રીમાં ઈચ્છાનાથ દાદા ના દર્શન કરવા માટે આવીએ છીએ. આજનું વાતાવરણ ખૂબ જ ધાર્મિક છે અહીં આવીને ઘણી સારી ફીલિંગ આવી રહી છે અને અમને એવું લાગી રહ્યું છે કે અહીં આવીને અમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શું છે મંદિરનો ઈતિહાસ લોક વાયકા મુજબ અઠવાલાઇન્સનું ઇચ્છાનાથ મહાદેવ મંદિર. અંદાજે 150 વર્ષ પહેલાં અઠવા લાઇન્સના આ સ્થળ પર એક ઘટાદાર વડનું ઝાડ હતું. તેની નીચે એક નાની એવી દેરીમાં ભગવાન ઇચ્છાનાથ બિરાજમાન હતા. વર્ષ 1947માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી વર્ષ 1984માં ઇચ્છાનાથ મહાદેવનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું. શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ઇચ્છાનાથ પાસે કોઇ પણ ચીજવસ્તુ માગે તો તે ઇચ્છા ભોળાશંભુ ઇચ્છાનાથ મહાદેવ અવશ્ય પૂર્ણ કરે છે.
મહાશિવરાત્રિ એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનો પર્વ. આજે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં શિવાલયો 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલના સુપ્રસિદ્ધ ચકુડિયા મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. આસ્થા અને શ્રદ્ધાના આ સંગમ સ્થાને હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર 250 વર્ષ કરતાં પણ વધુ જૂનુંરખિયાલ વિસ્તારમાં આવેલું ચકુડિયા મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શહેરના ભવ્ય વારસાનું પ્રતીક છે. આ મંદિર લગભગ 250 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાનું મનાય છે. શહેરના કોટ વિસ્તારની બહાર આવેલા જૂના મંદિરોમાં આ મંદિરનું સ્થાન મોખરે છે. લોકોની એવી અતૂટ શ્રદ્ધા છે કે અહીં સાચા મનથી માગેલી દરેક મુરાદ પૂરી થાય છે. 2 જ્યોતિર્લિંગોના દર્શન એક જ પરિસરમાંઆ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં આવતા ભક્તોને ભારતના વિવિધ ખૂણે આવેલા 12 જ્યોતિર્લિંગોના દર્શન એક જ પરિસરમાં કરવાની સુવિધા મળે છે. જે શ્રદ્ધાળુઓ સોમનાથ, કાશી વિશ્વનાથ કે રામેશ્વરમ સુધી જઈ શકતા નથી, તેઓ અહીં આવીને આ બાર જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિના દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધે છે. શિવરાત્રિના પર્વ પર આ લઘુ જ્યોતિર્લિંગોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા. શિવલિંગને ફૂલો અને રંગબેરંગી રોશનીનો શણગાર કરાયોમંદિરના મુખ્ય આકર્ષણોમાંનું એક અહીં સ્થાપિત 20 ફૂટ કરતાં પણ ઊંચું વિશાળ શિવલિંગ છે. આ ભવ્ય શિવલિંગના દર્શન કરવા એ ભક્તો માટે એક અદભૂત લ્હાવો છે. શિવરાત્રિના પવિત્ર દિવસે આ મહાકાય શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શિવલિંગને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું. ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈમહાશિવરાત્રિ નિમિત્તે મંદિરની બહાર લારી-ગલ્લા અને રમકડાંના સ્ટોલ સાથે મેળા જેવો માહોલ સર્જાયો હતો. હજારોની સંખ્યામાં ઉમટેલી મેદનીને જોતા મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. ભક્તોને લાઈનમાં ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે દર્શન મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સાંજ પડતાની સાથે જ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. શિવરાત્રિના પર્વ પર રખિયાલનું ચકુડિયા મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાયું છે અને વાતાવરણમાં માત્ર શિવ ભક્તિની જ ગુંજ સંભળાઈ રહી છે. મંદિરના પરિસરમાં સાઈબાબા, હનુમાનજી અને શનિદેવનું પણ બિરાજમાનઃ વંદનાબેનમંદિરના સેવક વંદનાબેને જણાવ્યું હતું કે, આ મંદિર અઢીસો વર્ષ ઉપરાંતનું છે અને પૌરાણિક છે. આ મંદિરમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તોનો પ્રવાહ સવાર પરોઢના ચાર વાગ્યાથી ચાલે છે. લાખો ભક્તોએ દર્શન કરીને ભગવાનને જળ અર્પણ કર્યું છે અને એમની શ્રદ્ધા-ભક્તિ-બાધા પૂરી કરી છે. આ મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિર પૌરાણિક છે, સાથે બાર જ્યોતિર્લિંગના અહીંયા દર્શન થાય છે. અહીંયા આ મંદિરના પરિસરમાં સાઈબાબાનું મંદિર છે, હનુમાનજી છે, પછી શનિદેવ છે અને પાછળ ગૌશાળા છે, એટલે અહીંયા બધાને બધાની ભાવના પ્રમાણે દર્શન થાય છે.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર અને વઢવાણ સતવારા સમાજ દ્વારા સિધ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા વઢવાણ સતવારા પરામાંથી પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રામાં ડીજે, વિવિધ વેશભૂષાવાળા ટ્રેક્ટરો, બેન્ડવાજા અને ઘોડાઓ જોડાયા હતા. નાના બાળકો અને મોટાઓએ વિવિધ દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિધ્ધનાથ દાદાની આ યાત્રા શહેરમાં ઠેર ઠેર ફરી હતી. વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાત્રિના સમયે દુધરેજ નજીક સમાપ્ત થશે. આ શોભાયાત્રામાં સતવારા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા ઉત્સાહભેર સુરેન્દ્રનગર તરફ આગળ વધી હતી.
દેશભરમાં મહાશિવરાત્રીનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ આજે મહાશિવરાત્રીને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટનાં શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. તો 150 વર્ષથી વધુ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભાંગનાં પ્રસાદ તેમજ મહાપૂજા અને હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રાજકોટનાં 150 વર્ષ જુના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરતા યોગેશભાઈ ભટ્ટનાં જણાવ્યા મુજબ પંચનાથ મહાદેવ મંદિર રાજકોટનું 150 વર્ષ કરતા વધારે જૂનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. અહીં શ્રાવણ મહિનો તેમજ મહાશિવરાત્રીનાં દિવસે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે આજે પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગણાતી ભાંગનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ભક્તો માટે 1000 લીટર કરતા વધારે દૂધમાંથી સાત્વિક ભાંગ બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં શિવભકતો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે. મહાશિવરાત્રી અને પંચનાથ મંદિરના મહત્વ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિવભકતો માટે આજનો દિવસ ખાસ મહત્વનો હોય છે. લોકો શ્રદ્ધાપૂર્વક દૂધ, જળ, ફૂલો અને બીલીનો અભિષેક કરે છે. સવારે 5 વાગ્યાથી લઈને કાલે સવારે 5 વાગ્યા સુધી વૈદિક મંત્રોચ્ચારની સાથે વિવિધ પૂજન-અર્ચન કરવામાં આવે છે. અતિ પૌરાણિક એવા પંચનાથ મહાદેવ મંદિરે ભક્તિભાવપૂર્વક મહાદેવનો અભિષેક કરવાથી ધન, વૈભવ અને આરોગ્ય તેમજ પુત્ર પ્રાપ્તિ સહિતની લોકોની મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે. આજના દિવસે ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પંચનાથ મંદિરમાં દર્શન કરવા આવેલા મહિલા ભક્ત દેવાંશીબેન રાણપરાએ આ તકે દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ તો હું દરરોજ અહીં પપ્પા સાથે દર્શન કરવા આવું છું. પરંતુ આજરોજ મહાશિવરાત્રીનાં પર્વે મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છું. આજે મહાદેવ અને માતા પાર્વતીનાં લગ્નનો દિવસ હોવાથી તેનું અનેરું મહત્વ છે. મેં પંચનાથ મહાદેવને દુધનો અભિષેક કરી ફૂલો અર્પણ કર્યા છે. મને વિશ્વાસ છે કે પંચનાથ મહાદેવ મારી તમામ મનોકામના પૂર્ણ કરશે.
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આજે (15 ફેબ્રુઆરી) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગઢપુર વાય જંકશન પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે મોપેડ પર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સરોજબેન નામની મહિલાનું ભાઈની નજર સામે કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના ભાઈ અને પૌત્રને સામાન્ય ઈજાઓ પહોંચી છે. રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને અન્ય મહિલાઓએ પોતાની ઓઢણી આપી ઝોળી બનાવી ઉચકીને કારમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન 108 આવી જતા હોસ્પિટલ ખસેડી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું ભાઈ બહેનને મોપેડ પર બેસાડી ઘરે લઈને જતો હતોમૂળ ભાવનગરના મહુવા તાલુકાના લોંગડી ગામના વતની અને હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા મનુભાઈ કરશનભાઈ સવાણી (ઉં.વ. 68) તેમના પૌત્ર હિયાન (ઉં.વ. 6) સાથે ટીવીએસ જ્યુપિટર મોપેડ (GJ-05-PE-6267) પર સવાર થઈને તેમની બહેન સરોજબેન અરવિંદભાઈ પટેલ (ઉં.વ. 72)ને મળવા ગયા હતા. ત્યારબાદ મનુભાઈ તેમની બહેન સરોજબેન અને પૌત્ર હિયાનને મોપેડ પર બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારીજ્યારે તેઓ ગઢપુર વાય જંકશન પાસે આવેલા શિવાંત હાઈટ્સ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રક (GJ-37-T-9471) ના ચાલકે તેમની મોપેડને સાઈડમાંથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ ત્રણેય વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા. કમનસીબે, સરોજબેન ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા, જેના કારણે તેમના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. હોસ્પિટલ લઈ જવા મહિલાઓએ ઓઢળીની ઝોળી બનાવીસ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલા જ તબીબોએ સરોજબેનને મૃત જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બંને પગ કચડાઈ જવા સાથે જ લોહીલુહાણ હાલતમાં પડેલા સરોજબેનને ઊંચકવા માટે ત્યાં હાજર મહિલાઓએ પોતાની ઓઢણીઓ આપી હતી અને ત્યારબાદ ઝોળી બનાવી તેમને ઊંચકીને કારમાં હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. 108 એમ્બ્યુલન્સને મોડું થયું હોવાથી કારમાં લઈ જવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન જ 108 એમ્બ્યુલન્સ આવી જતા તેમાં હોસ્પિટલ ખસેડાયા હતા. અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈમનુભાઈ સવાણીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક નંબરના આધારે ફરાર ચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુરના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આ પવિત્ર અવસરે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ તેમના બાળકો સાથે જાગનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. તેમણે ભગવાન શંકરની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુરમાં પણ અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભક્તિભાવપૂર્વક શિવાલયોમાં ઉમટી પડ્યા હતા. જાગનાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ છવાયો હતો. આ પ્રસંગે જાગનાથ મહાદેવ મંદિરના મહંત શ્યામદાસજી મહારાજે શિવરાત્રીના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે સાંજે ભગવાન ભોળાનાથની નગરયાત્રા નીકળવાની જાણકારી આપી હતી અને તમામ ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં સ્થાનિક લોકો ઉપર સોસાયટીના જ વ્યક્તિ દ્વારા માણસો બોલાવીને મારામારી કરવામાં આવી હોવાની ઘટના બની હતી. કાળા કલરની નંબર પ્લેટ વિનાની કારમાં આવીને પાંચથી છ જેટલા શખસો દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો. મારામારીની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મામલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના પગલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. જૂની અદાવતમાં એક મહિના બાદ મારમારી કરીમળતી માહિતી મુજબ, શહેરના હાથીજણ વિસ્તારમાં પોલીસનો અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવી ના સ્થાનિક લોકો પર મારામારીની ઘટના બની છે. હાથીજણની ધર્મવાટિકા સોસાયટીમાં દૃશ્ય ગોસ્વામી નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. 14 જાન્યુઆરીના રોજ સોસાયટીમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જે ઝઘડાની અદાવત રાખી ગઈકાલે (14 ફેબ્રુઆરી) બપોરના સમયે દ્રશ્ય ગોસ્વામી અને અન્ય લોકો દ્વારા કાળા કલરની નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવ્યા હતા અને સોસાયટીના રહીશ પર હુમલો કર્યો હતો. 6 જેટલા શખ્સો દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો. સોસાયટીના ટોળેટોળાં પણ ભેગા થઈ ગયા હતા. ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગણતરીના કલાકોમાં 6 આરોપીની ધરપકડદ્રશ્ય ગોસ્વામી અને તેની સાથેના આવેલા અન્ય લોકો મારામારી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા વિવેકાનંદ નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. સોસાયટીના સભ્યોએ વિવેકાનંદનંગર પોલીસ સ્ટેશનમાં દ્રશ્ય ગોસ્વામી અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આજે શિવરાત્રીના તહેવાર નિમિત્તે લોકો શિવ ભક્તિમાં લીન બન્યા છે, ત્યારે દિવ્યભાસ્કર તમને વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિરમાં બે શિવલિંગ આવેલા છે, એના દર્શન કરાવી રહ્યું છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. આ જગ્યા ઉપર પહેલા મંદિર હતુ અને તેમાં 78,000 ઋષિમુનિઓ તપ કરતા હતા. આ જ્ગ્યા ઉપર કડવામુનિ અને વિષ્ણુ ભગવાનનો આશ્રમ પણ હતો. અને વિષ્ણુ ભગવાનને એવો નિયમ હતો કે, દરરોજ 1008 કમળના ફૂલ મહાદેવના શિવલિંગને ચડાવી પૂજા કરી પછી જમવાનું ત્યારે શંકર ભગવાને તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતુ. જ્યારે વિષ્ણુ ભગવાન પુજા કરવા બેઠા ત્યારે એક કમળનું ફૂલ અલોપ કરી નાખ્યું હતું. તે સમયે વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખ શંકર ભગવાનના લિંગ ઉપર ચડાવી દીધી હતી, ત્યારે શંકર ભગવાન લિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને મોઢા ઉપર હાથ ફેરવી દીધો અને આંખ હતી, એવી થઇ ગઇ પછી વિષ્ણુ ભગવાન દ્વારા ચડાવેલ એ આંખને પોતાના કપાળમાં લગાડી ત્યારથી શંકર ભગાવન ત્રિનેત્રેશ્વર કહેવાયા. (તરણેતર – ત્રણ નેત્ર) નામ પડ્યુ. આ મંદિરની અંદર બે શિવલિંગ આવેલા છે અને આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલી છે, જે મહાભારત કાળની છે. દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથાનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા પર યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો આ સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ મંદિરના પટઆંગણમાં જે કુંડ આવેલો છે, ત્યાં અર્જુન દ્વારા મત્સ્યવેધ થયો હતો. આમ, દ્રૌપદીના વિવાહનો પ્રસંગ પણ આ મંદિર સાથે જોડાયેલો છે. એટલે આ જગ્યા પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. આ જગ્યા ઉપર પહેલા ઋષિ પાંચમ એટલે ભાદરવા સુદ-પાંચમના દિવસે શંકર ભગવાન સ્વયંભુ પ્રગટ થયા હતા, ત્યારે ઋષિમુનિઓ અને દેવો મેળો ભરાતો હતો. હાલમાં વિશ્વ પ્રસિદ્ધ આ તરણેતરનો મેળો એ ખરેખર લોકમેળો છે, જે પાંચાળ વિસ્તારમાં ભરાય છે. જેની અંદર બધી કોમના જેવા કે, માલધારી, રબારી, કોળી, ક્ષત્રિય સમાજમાંથી કાઠી દરબાર તેમજ ગુજરાત અને ગુજરાત બહારથી પણ આ મેળાની અંદર લોકો ઉમટી પડે છે. દરેકના સમાજના પોતાના અલગ-અલગ પહેરવેશમાં આ મેળો માણવા આવે છે. અને આ જગ્યા ઉપર આવેલ કુંડની અંદર હજારોની સંખ્યામાં પાંચમના દિવસે શ્રદ્ધાભેર સ્નાન કરે છે. ભાદરવા સુદ-ચોથના દિવસે મંદિરમાં ધજારોહણ કરવામાં આવે છે. જે વર્ષોથી પાળિયાદના વિસામણ બાપુની જગ્યા દ્વારા બાવન (52) ગજની ધજા રોહણ કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિરના પટઆંગણમાં જુદી-જુદી રાસ-મંડળીઓ દ્વારા રાસ રમાવામાં આવે છે, સાથે હુડો, દુહા, છંદ, રાવણ હથ્થા વગાડાવા જેવા વિવિધ કાર્યક્રમો થાય છે. આ મેળો આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો છે. મેળાની અંદર નાના બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો પણ રાસ રમે છે, જે જોવાનો એક લ્હાવો છે. આ મેળો દિવસ અને રાત એમ 24 કલાક ચાલે છે. જે ત્રણ દિવસનો હોય છે. મેળાની અંદર વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે. જેમાં વેશભૂષા,રાસ, છત્રી, પાવા હરિફાઇ, છત્રી-રાસનો સમાવેશ થાય છે. જ્યારે આ મેળામાં આપણી વિવિધ રમતો જેવી કે, કબડ્ડી, રસ્સા ખેંચ, નારગોલ, દોડ, લાડવા ખાવાની સ્પર્ધા, સ્લો સાઇકલિંગ રેસ, અશ્વ દોડ, કુસ્તી, ચક્ર ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક જેવી રમતોની પણ હરિફાઇ થાય છે. તેમજ આ મેળાને માણવા માટે દેશ તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. આ મેળાની અંદર નાના બાળકથી લઇને મોટી ઉંમરના લોકો પણ આવે છે. સાથે સેવાના ભાગરૂપે લોકોને આરામ તેમજ ભોજન મળી રહે તે માટે સેવાભાવી લોકો દ્વારા રાવટી પણ ચોવીસ ક્લાક ચાલુ રહે છે. જેમાં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. આ મેળો ખરેખર માણવા જેવો છે. ત્રણ દિવસની અંદર આ મેળામાં લાખોની જનમેદની મેળાની મોજ માણવા અચૂક આવે છે. તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતુ. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે. તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે, પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાના સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે, તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે. મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે, જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલા હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલા છે. “ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારક નામદાર લખતર ઠાકોર કરણસિંહજી બાપુ” તરણેતરના મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગળ સંસ્કૃતિની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. આ મેળો ભારતના મોટા મેળાઓમાનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્યમાં પ્રસિદ્ધ છે.... “નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ; ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ; વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.” આમ આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતરના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્ર સમાજ લઇ શકે, ઠાકોર કરણસિંહજી પાંચ મહિનાની લઇ શકે, ઠાકોર કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. 15-6-1846નો દિવસ હતો. તેમણે સંવત 1940ના ફાગણ વદી 1ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત 1950ના આસો સુદી 10ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૂ. 1 લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા.
પાટણ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકર્ણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ બિલિપત્ર, દૂધ, જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક કર્યો હતો. સિદ્ધનાથ મહાદેવ ખાતે વૈદિક રુદ્રીના મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન-અર્ચન કરાયું હતું. ત્યારબાદ ધજાનું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યરાત્રિએ પંચવક્ર પૂજા અને ૧૦૮ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. છત્રપતેશ્વર મહાદેવ અને કોટેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. બગેશ્વર મહાદેવ ખાતે પણ ભક્તોએ લાઈનમાં ઉભા રહી ભોળાનાથના દર્શન અને પૂજન કર્યા હતા. ગુપ્તેશ્વર મહાદેવ ખાતે ફૂલોની આગી કરવામાં આવી હતી અને ભક્તો પૂજન અર્ચન માટે ઉમટ્યા હતા. શિવાલયોમાં સવારથી જ રૂદ્રાભિષેક સહિતની પૂજાઓ કરવામાં આવી હતી. ભક્તોને ભાંગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે ચાર પ્રહરની પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાનો ઇતિહાસ બદલવામાં જેણે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેવું સુપ્રસિદ્ધ ડગ્લાસ ડીસી-3 (Douglas DC-3) શ્રેણીનું વિમાન હાલ વર્લ્ડ ટૂર પર નીકળ્યું છે. આ પ્રવાસ દરમિયાન આ ઐતિહાસિક વિમાન ગુજરાતના સુરત અને વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરતા કુતૂહલ સર્જાયું હતું. આ વિમાન સુરત એરપોર્ટ પર ફ્યુઅલ રિફિલિંગ માટે રોકાયું હતું. વિશ્વયુદ્ધનો 'વર્કહોર્સ' અને D-Dayનું જોડાણઆ વિમાન માત્ર એક મશીન નથી, પણ જીવતોજાગતો ઇતિહાસ છે. વર્ષ 1944માં થયેલા પ્રખ્યાત D-Day ઓપરેશન સહિતના અનેક મહત્વપૂર્ણ મિશનોમાં આ વિમાને સૈનિકો, હથિયારો અને જરૂરી સામગ્રી પહોંચાડી હતી. મિત્ર રાષ્ટ્રોની જીતમાં આ વિમાનનો ફાળો એટલો મોટો હતો કે તેને યુદ્ધનો 'વર્કહોર્સ' અથવા 'લોખંડી પક્ષી' તરીકે ઓળખવામાં આવે છે. હિટલરની નાઝી સેના સામેની લડતમાં આ વિમાને પરિવહન ક્ષેત્રે પાયાની ભૂમિકા ભજવી હતી, જે અંતે યુદ્ધમાં નિર્ણાયક વળાંક સાબિત થઈ હતી. 'સ્પિરિટ ઓફ ડગ્લાસ'ની ટેકનિકલ વિશેષતાઓઆ વિમાન આજે 84 વર્ષ પછી પણ એટલી જ મજબૂતીથી ઉડી રહ્યું છે. તેની મુખ્ય વિશેષતાઓ અમેરિકન કંપની 'ડગ્લાસ એરક્રાફ્ટ' દ્વારા ૧૯૩૦ના દાયકામાં બનાવવામાં આવ્યું છે. તેમાં પ્રેટ એન્ડ વ્હિટની (Pratt Whitney) નામના બે શક્તિશાળી એન્જિન છે. આ વિમાનની ખાસિયત એ છે કે જો એક એન્જિન હવામાં ખોટવાય, તો પણ તે બીજા એન્જિન પર કલાકો સુધી સુરક્ષિત ઉડી શકે છે. સામાન્ય આધુનિક જેટ ૨૫ વર્ષમાં નકામા થઈ જાય છે, જ્યારે આ વિમાન 85 વર્ષે પણ કાર્યરત છે. વર્લ્ડ ટૂરનો હેતુઆ વિમાન હાલમાં વિશ્વ પ્રવાસે છે, જેનો ઉદ્દેશ્ય એવિએશન (વિમાનશાસ્ત્ર)ના ઇતિહાસને જીવંત રાખવાનો અને નવી પેઢીને આ ઐતિહાસિક ધરોહરથી માહિતગાર કરવાનો છે. સુરતમાં ટૂંકા રોકાણ બાદ આ વિમાન વડોદરા તરફ રવાના થયું હતું, જ્યાં એવિએશન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્પિરિટ ઑફ ડગ્લાસ’ની વિશેષતા
દ્વારકાથી 16 કિલોમીટર દૂર આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ પાવન પર્વે ભક્તો દ્વારા ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાતઃ આરતી સવારે 5:00 કલાકે, શૃંગાર દર્શન સવારે 5:00 થી 8:00 વાગ્યા સુધી અને નીરાજન મહાઆરતી રાત્રિના 8:00 કલાકે યોજાઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ભક્તો અને તંત્રના સહયોગથી યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર, ચાર પ્રહરની પૂજા કરવાથી ભક્તોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં રાત્રિના ચારેય પ્રહર દરમિયાન વિશેષ શિવપૂજા કરવામાં આવી હતી. પ્રથમ પ્રહર રાત્રે 9:00 થી 11:00, દ્વિતીય પ્રહર રાત્રે 11:00 થી 1:00, તૃતીય પ્રહર રાત્રે 1:00 થી 3:00 અને ચતુર્થ પ્રહર વહેલી સવારે 3:00 થી 5:00 વાગ્યા સુધી યોજાયો હતો. રાત્રિના 12:00 કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. દ્વારકા ઉપરાંત મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા, બારાડી અને પોરબંદર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા યાત્રા કરીને વહેલી સવારે નાગેશ્વર પહોંચ્યા હતા. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, આરતી અને ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયમાં પૂર્વ નોંધણી ફરજિયાત કરવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા આવતા ભક્તો માટે ફળહાર, ચા, દૂધ, કોફી અને નાસ્તાની નિઃશુલ્ક પ્રસાદ રૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગિરધર ભારથી, પૂજારી, નાગેશ્વર મંદિર, દ્વારકા દ્વારા ભક્તો શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં ભગવાન શિવની પૂજા અને આરાધના કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ દૂધ, જળ, અને બીલીપત્રથી મહાદેવનો અભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી, જ્યારે મંદિરોને આકર્ષક શણગાર અને રોશનીથી ઝગમગતા બનાવવામાં આવ્યા હતા. ઉપવાસ, ફળાહાર અને ભાંગના પ્રસાદ સાથે તેમજ અનેક સ્થળોએ હોમાત્મક લઘુરૂદ્રના આયોજનથી સમગ્ર શહેર ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ભક્તિમય બન્યું હતું. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટીશહેરના ભીડભંજન મહાદેવ તેમજ જશોનાથ મહાદેવના, બિલેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં સવારથી લોકો શિવ દર્શન માટે ઉમટ્યા હતા. મહાશિવરાત્રિ પર્વને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શહેરના તખ્તેશ્વર મહાદેવ તેમજ બિલેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના મહાદેવના મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભાવવિભોર થયા હતા અને મહાશિવરાત્રિ પર્વને લઈને શિવાલયોને શણગાર કરી સુશોભિત પણ કરવામાં આવ્યા હતા. શિવ મંદિરોને સુંદર રોશનીથી ઝળહળતા કરાયાતેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં પ્રધાન દેવ જો કોઈ હોય તો તે મહાદેવ છે, ત્યારે આજે મહાશિવરાત્રિના પર્વે ભાવનગર શહેર જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવશે, એ સાથે દૂધ, જળ, મધ, બીલીપત્રનો અભિષેક કરી પૂજા અર્ચના કરશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં તખ્તેશ્ર્વર મહાદેવ, ભગવાનેશ્વર મહાદેવ, નારેસ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, દેવનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો ભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દર વર્ષની જેમ શોભાયાત્રા પણ યોજવામાં આવશે. શિવભક્તો આજે મહાશિવરાત્રિ પર્વે ઉપવાસ રાખી ફળાહારમાં શકકરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફ્રુટ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, કરવામાં આવ્યું છે, ત્યારે શિવભક્તો દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિની ઉજવણીમાં ભાવવિભોર બન્યા હતા.
પુરૂષ કરતા મહિલા નગરસેવકોએ વધુ સક્રિયપણે લોકોના પ્રશ્ને ફરિયાદો કરી રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની સગવડતા માટે ગત વર્ષે માર્ચ મહિનાથી મ્યુ. કમિશ્નરે પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ મારફત નગર સેવકો પોતાના વોર્ડ વિસ્તારની ફરિયાદો નોંધાવી શકે અને અધિકારીઓ દ્વારા થતી કામગીરી વિશે જાણકારી મેળવી શકે તે સહિતની સુવિધાઓ છે. જોકે આ પોર્ટલ શરૂ કરાયાં પછી છેલ્લા અગિયાર મહિનામાં ભાજપના 68 કોર્પોરેટરોમાંથી 18 કોર્પોરેટરોએ આંગળીનાં ટેરવે થતી ફરિયાદ કરવાન પણ તસ્દી લીધી નથી. પ્રજાનાં પ્રશ્નો માટે વારંવાર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગજાવતા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને મકબુલ દાઉદાણીને પણ તેમના વોર્ડ નંબર 15 માં કોઈ સમસ્યા દેખાઈ નથી. બીજીતરફ અન્ય નગરસેવકોએ આ સમયગાળામાં 1313 જેટલી ફરિયાદો નોંધાવી હતી. જેમાંથી 30 ફરિયાદી હજુપણ પેન્ડિંગ છે. આ ફરિયાદો કરવામાં મહિલા નગરસેવકો સતત આગળ રહ્યા હતા. પોતાના ઘરની સાથે કોર્પોરેટરની જવાબદારી સંભાળતા મહિલા કોર્પોરેટરોને તેમના વોર્ડ વિસ્તારની સમસ્યા વધુ નજરે પડી છે. જે 50 નગરસેવકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે તેમાં 29 મહિલા કોર્પોરેટર અને 21 પુરૂષો છે. જેમાં પણ સૌથી વધુ ફરિયાદ વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર મંજુબેન છગનભાઇ કુંગશિયાએ નોંધાવી છે. 11 મહિનાના સમયગાળામાં મંજુબેને 338 ફરિયાદો નોંધાવી છે. તો વોર્ડ નંબર 4ના કંકુબેન ઉધરેજાએ 123 , વોર્ડ નંબર 1ના ડોક્ટર અલ્પેશ મોરજરીયાએ કુલ 116 ફરિયાદો કરી છે. જ્યારે ધારાસભ્ય અને વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર ડો. દર્શિતા શાહે તેમના વોર્ડની એક જ ફરિયાદ કરી છે. પણ પુર્વ કેબિનેટ મંત્રી અને વોર્ડ- 1નાં કોર્પોરેટર ભાનુબેન બાબરીયાની નજરે તેમના વોર્ડ વિસ્તારની એક પણ સમસ્યા આવી નથી. ભાજપના જે 50 નગરસેવકોએ પોતાના વોર્ડ વિસ્તારની સમસ્યાને જણાવી છે તેમાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપ, રોડ રસ્તાની બિસ્માર હાલત, સફાઈ ના અભાવ અને પાણી વિતરણ સંબંધિત ફરિયાદો વધુ છે. ઓનલાઈન પોર્ટલમા અગિયાર મહિનામાં 1313 ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી 1283 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. જ્યારે 30 ફરિયાદો તો હજુપણ પેન્ડિંગ હોવાનું તંત્રએ સત્તાવાર સ્વીકાર કર્યો છે. તેમાં પણ 1,3,4,7,18 નંબરના વોર્ડની નિકાલ થયા વગરની ફરિયાદો વધુ છે. નિષ્ક્રિય રહેલા કોર્પોરેટરોનાં નામની યાદી - ધારાસભ્ય કોર્પોરેટર ભાનુબેન બાબરીયા (વોર્ડ નં 1)- શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા (વોર્ડ નં 2)- સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકર (વોર્ડ નંબર 2)- બાબુભાઈ ઉંધરેજા (વોર્ડ નંબર 3)- મેયર નયનાબેન પેઢડીયા (વોર્ડ નંબર 4)- વજીબેન ગોલતર (વોર્ડ-5 આવાસ કૌભાંડમાં સસ્પેન્ડ)- હાર્દિક ગોહિલ (વોર્ડ નંબર 5)- ભાવેશભાઈ દેથરિયા (વોર્ડ નંબર 6)- દેવુબેન જાદવ (વોર્ડ-6 આવાસ કૌભાંડમાં સસ્પેન્ડ)- પ્રિતિ બેન દોશી (વોર્ડ નંબર 8)- પુષ્કર પટેલ (વોર્ડ નંબર 9)- જીતુભાઈ કટોડિયા (વોર્ડ નંબર 9)- રણજીતભાઈ સાગઠીયા (વોર્ડ નંબર 11)- મિતલ બેન લાઠિયા (વોર્ડ નંબર 12)- ભારતીબેન મકવાણા (વોર્ડ નંબર 14)- સુરેશભાઈ વસોયા (વોર્ડ નંબર 16)- અનિતાબેન ગોસ્વામી (વોર્ડ નંબર 17)- પરેશ રમેશભાઈ પીપળિયા (વોર્ડ નંબર 6)આ કોર્પોરેટરો લોક સમસ્યાને વાચા આપવા આગળ વોર્ડ નંબર 7: - વર્ષાબેન પાધી - જયશ્રીબેન ચાવડા - દેવાંગ માંકડ - ડો. નેહલ શુકલ વોર્ડ નંબર 10 - જયશ્રીબેન ટીલાળા- ડો. રાજશ્રીબેન ડોડિયા - ચેતનભાઈ સુરેજા- નરેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ નંબર 13 - જયાબેન ડાંગર - સોનલબેન સેલારા- નીતિન રામાણી - સુરેન્દ્ર સિંહ વાળા ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 5 વર્ષ પહેલા યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં પ્રજાજનોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી 72 માંથી 68 બેઠકો પર વિજેતા બનાવી સ્પષ્ટ બહુમતી આપી હતી. અને ભાજપના નગરસેવકો પ્રજાકીય પ્રશ્નો હલ કરશે એવી આશા રાખી હતી.પણ, શહેરીજનોની આ આશા મહાનગરપાલિકાની બીજી ચૂંટણીઓ નજીક આવી રહી હોવા છતાં ફળિભૂત થઈ નથી. અને 25% જેટલા કોર્પોરેટરોએ પ્રજાની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા માટે આંગળી ચલાવવાની તસ્દી પણ લીધી નથી. ત્યારે આગામી ચૂંટણીમાં પ્રજા આવા નગરસેવકને શુ જવાબ આપશે તે જોવું રહ્યું.
જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાત આજે નવી દિશામાં આગળ વધી રહ્યું છે. મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ થશે, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ‘અન્નપૂર્તિ ગ્રેઇન ATM’ શરૂ થશેઆજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. CBDC સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ‘અન્નપૂર્તિ ગ્રેઇન ATM’ શરૂ થશે, જ્યાં માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે. હવે પેકેટમાં તુવેરદાળ અને ચણાનું વિતરણ કરાશેરાજ્ય સરકાર NFSA પરિવારોને હવે 1 કિલોના સીલ પેકમાં તુવેરદાળ અને ચણાનું વિતરણ કરશે, જેથી ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે. ગ્રાહક હિત માટે ‘Care Rating’ અને Consumer Education and Research Centre સાથે MOU કરી ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ અમલમાં આવશે. આ પ્રકલ્પો દ્વારા ગુજરાત જાહેર વિતરણ ક્ષેત્રે ડિજિટલ અને પારદર્શક યુગમાં સત્તાવાર પ્રવેશ કરી રહ્યું છે.
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો આજે(15 ફેબ્રુઆરી) તેના ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે શિવરાત્રીના પાવન પર્વે મેળાનો અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની ભવ્ય શાહી રવેડી નીકળશે, જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. 4 દિવસમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મિની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવીવહેલી સવારથી જ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા ચાર દિવસમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મિની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. આ વર્ષે ભાવિકોને પૂરતી સુખ-સુવિધા અને કડક સુરક્ષા મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સમગ્ર મેળા ક્ષેત્રમાં ભક્તિ, ભોજન અને ભજનનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. રવેડી ભવનાથ ક્ષેત્રના અલગ-અલગ રૂટ પરથી પસાર થશેઆ શિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુઓની શાહી રવેડી છે. શરીરે ભસ્મ ચોળી, તપતી ધૂણી ધખાવી અને ચીલમના ફૂંકે અલખનો આરાધ કરનારા આ સાધુઓના દર્શન કરવા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી લાખો લોકો ઉમટી પડ્યા છે. આ રવેડી ભવનાથ ક્ષેત્રના નક્કી કરાયેલા અલગ-અલગ રૂટ પરથી પસાર થશે. રૂટની બંને બાજુ બેરિકેટ્સ લગાવાયારવેડીના માર્ગો પર ભક્તોની ભીડને જોતા તંત્ર દ્વારા રૂટની બંને બાજુ મજબૂત બેરિકેટ્સ લગાવવામાં આવ્યા છે, જેથી શાંતિપૂર્ણ રીતે રવેડી સંપન્ન થઈ શકે. ભાવિકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને આ અલૌકિક દ્રશ્યોની પ્રતીક્ષા કરી રહ્યા છે. મધ્યરાત્રીએ તમામ સંતો અને નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરશેશાહી રવેડીના ભ્રમણ બાદ મધ્યરાત્રીએ તમામ સંતો અને નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. મૃગીકુંડ વિશે એવી પૌરાણિક માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન શિવ પણ સાધુના સ્વરૂપે પધારે છે. આ શ્રદ્ધાને કારણે જ મૃગીકુંડનું સ્નાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી સાથે મેળાનું સમાપન થશે. રવેડીના રૂટ પર લાઈટિંગ, પીવાનું પાણી અને તબીબી સેવાઓગિરનારની ગોદમાં વસેલું ભવનાથ ક્ષેત્ર આજે સંપૂર્ણપણે શિવમય બની ગયું છે. ભક્તિના આ મહાપર્વમાં જોડાયેલા નાગા જોગીઓ પોતાની વિશિષ્ટ હઠયોગની સાધના અને શિવ આરાધનાથી વાતાવરણને દિવ્ય બનાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રવેડીના રૂટ પર લાઈટિંગ, પીવાનું પાણી અને તબીબી સેવાઓની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે. ભવ્ય રવેડી અને મધ્યરાત્રિના શાહી સ્નાનની રાહ જોતા શ્રદ્ધાળુપાંચ દિવસ સુધી ચાલેલા આ મિની કુંભમાં શ્રદ્ધાળુઓએ ભક્તિનો અનેરો લ્હાવો લીધો છે. સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રો અને સંતોના આશીર્વાદ સાથે આ મેળો યાદગાર બની રહ્યો છે. હવે સૌની નજર આજની ભવ્ય રવેડી અને મધ્યરાત્રિના શાહી સ્નાન પર ટકેલી છે, જે શિવરાત્રીના આ મહાપર્વને પૂર્ણતા તરફ લઈ જશે.
આજે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે શરૂઆતથી જ ભીડ જામી છે. ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, પરંતુ હાઇકોર્ટના આદેશને પગલે આજે મતગણતરી નહીં થાય, 17 તારીખે કોર્ટમાં સુનાવણી બાદ મતગણતરી ક્યારે થશે, એની તારીખ નક્કી થશે. મતદાન સ્થળ પર રિવાઈવલ ગ્રૂપ દ્વારા રિવાઇવલ 31ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વોટ ફોર રોયલ સત્યમેવ જયતેના નારા લગાવવામાં આવ્યા હતા. રિવાઈવલ ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે એ જણાવ્યું હતું કે, આજનો માહોલ ખૂબ જ સરસ છે. હું તમામ સભ્યોનો આભાર માનવા માંગુ છું કે તેઓ આટલી મોટી સંખ્યામાં મતદાન કરવા અને પોતાનો નિર્ણય આપવા માટે આવ્યા છે. તે ખરેખર ખૂબ જ સારી વાત છે. કોઈપણ સંસ્થામાં સભ્યોનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વનો હોય છે. સભ્યો જાણે છે કે અમારા ગ્રુપ 'રિવાઈવલ 31' એ ભૂતકાળમાં કેવું કામ કર્યું છે. તેમના વિશ્વાસને કારણે જ આજે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે ભારત-પાકિસ્તાન મેચ છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતનો જ વિજય થશે. આ ટી-20 ફોર્મેટ છે અને આપણું પલ્લું ચોક્કસપણે ભારે છે. મને ખાતરી છે કે ભારતીય ટીમ આજની જીત સાથે આગળ વધશે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ દર્શન બેંકર એ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો બધા જ ઉમેદવારોને મારી શુભેચ્છાઓ. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તમે વહેલી તકે આવો અને તમારો કિંમતી વોટ આપો. જલ્દી આવો અને વોટ કરો. અમારી જીત પાકી છે. આ વખતે પરિવર્તન આવવાનું છે. પુનરાવર્તન નહીં, પણ પરિવર્તન આવશે. રિવાઈવલ ગ્રૂપના અગ્રણી પ્રણવ અમીને જણાવ્યું હતું કે, અમે હંમેશા સકારાત્મકતા પર જ કામ કર્યું છે અને એ આજે દેખાય પણ છે. અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારા બધા જ સભ્યો અહીં વોટ આપવા આવ્યા છે. આ પ્રક્રિયા આખો દિવસ ચાલશે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે જ જીતીશું. થોડી ખેંચતાણ તો અહીં થતી રહેશે, પણ બાકી અમને પૂરો વિશ્વાસ છે. મતદારો અમારી સાથે છે, તેમનો સપોર્ટ પણ અમારી સાથે જ છે, એટલે મને નથી લાગતું કે જીતવામાં કોઈ વાંધો આવે. રીવાઇવલ ગ્રુપના ઉમેદવાર તેજલ અમીને જણાવ્યું હતું કે, : મને 100% જીતની આશા છે. 'રિવાઈવલ 31' ની આખેઆખી પેનલ ખૂબ જ સારી રીતે જીતી જશે. પ્રણવ અમીન અને તેમની ટીમે અત્યાર સુધી આ સ્ટેડિયમ બનાવ્યું છે અને ઘણી બધી ઈન્ટરનેશનલ મેચો લાવીને વડોદરાના ક્રિકેટને જે નેશનલ લેવલ પર સ્થાન અપાવ્યું છે, તેને હવે આપણે કિરણ મોરેના નેતૃત્વમાં આગળ લઈ જવાનું છે. અમારામાં ખૂબ જ ઉત્સાહ છે. અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે અને હવે જે નવા વચનો છે તે ક્રિકેટ માટે, ક્રિકેટરો માટે અને મેમ્બર્સ માટે છે. ઘણી બધી નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે અને ફેરફારો આવી રહ્યા છે. અમે વડોદરાના ક્રિકેટને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર ચોક્કસપણે આગળ લઈ જઈશું. 'ટીમ રિવાઈવલ 31' આપેલા તમામ વચનો પૂરા કરશે. પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ જણાવ્યું હતું કે, હું ઘણો ઉત્સાહિત છું. પુનરાવર્તન કે પરિવર્તન? તમને શું દેખાઈ રહ્યું છે? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, એ તો મેમ્બર્સ નક્કી કરશે.
મહાશિવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ દાહોદ નજીક આવેલા પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરે ભવ્ય શિવમહોત્સવનું આયોજન કરાયું હતું. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને તેમના મિત્ર મંડળની આગેવાની હેઠળ યોજાયેલા આ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને મહાદેવની આરતી સાથે થયો હતો. મંદિર પરિસરને રંગીન લાઇટિંગ અને આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો દ્વારા ભગવાન શિવની આરાધના સાથે લોકડાયરાની રમઝટ જમાવવામાં આવી હતી. ભજન, સ્તુતિગીતો અને ભક્તિમય રજૂઆતોને ભક્તોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.વિશેષ આકર્ષણ તરીકે શિવતાંડવ નૃત્ય, ભગવાન શિવની મહિમા દર્શાવતા નૃત્યો, ડાંગી નૃત્ય અને આદિવાસી લોકનૃત્યોની મનોહર પ્રસ્તુતિઓ થઈ હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોએ રંગમંચ પર જીવંત પ્રદર્શન કર્યું હતું, જેને જોઈ ઉપસ્થિત ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત જિલ્લાના અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે આયોજક મંડળે જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ ભક્તિ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું પ્રતિક છે. આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં આધ્યાત્મિકતા સાથે લોકસંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે.મંદિર પરિસરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
દહેજની Alivus Life Sciences કંપનીમાં આગ:રાસાયણિક પ્રક્રિયામાં 3 કામદારો દાઝ્યા, તપાસ શરૂ
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી Alivus Life Sciences Limited કંપનીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ કામદારો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીના બિલ્ડિંગ નંબર–6ના ત્રીજા માળે ચાલી રહેલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કંપની પ્રશાસને ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ કામદારોને શરૂઆતમાં ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. Alivus Life Sciences Limited ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ)નું ઉત્પાદન કરે છે. પ્રાથમિક તારણ મુજબ, આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાનું મનાય છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સત્તાવાર રીતે જાહેર થયું નથી. ફાયર વિભાગે અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
બાલીસણા પાસેથી ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું:₹24,750નો જથ્થો જપ્ત, એક ઝડપાયો, બે ફરાર, ફોન કબજે
પાટણ-ઉંઝા હાઈવે પર આવેલા પાટણ તાલુકાના વિસલવાસણા અને બાલીસણા ગામ વચ્ચે સિધ્ધિ ફેક્ટરી પાસે એક પાર્લર પર ઉભી રહેતી ટર્બો ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરીને વેચવાનું કૌભાંડ બાલીસણા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ₹24,750ની કિંમતના 275 લિટર ડિઝલ ભરેલા 11 કેરબા અને બે ટર્બો ચાલકો પાસેથી ₹18,000ના બે મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસને ઉપરોક્ત સ્થળે ડિઝલ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. બાલીસણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ પાર્લર નજીક તપાસ કરતા, ત્યાં ઉભેલા બે ટર્બો ટ્રકમાંથી બે વ્યક્તિઓ ટાંકીમાંથી ડિઝલ કાઢીને કેરબામાં ભરતા જોવા મળ્યા હતા. આ બંને શખ્સો ડિઝલ ભરેલા કેરબાઓને પાર્લરની પાછળ આવેલી બાવળની ઝાડીમાંથી પસાર થઈ ખેતરમાં થોડે દૂર મૂકી આવતા હતા. પોલીસને જોઈને બંને આરોપીઓ પોતાના ફોન ફેંકીને નાસી ગયા હતા. જોકે, પોલીસે દિગડી, તા. પાટણ (મૂળ કંબોઈ, તા. કાંકરેજ)ના રિન્કુ ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો ભાઈ કલ્પેશ નાસી છૂટ્યો હતો. પોલીસે રિન્કુ પાસેથી તેનો ₹10,000નો મોબાઈલ, તેના ભાઈ કલ્પેશનો ₹8,000નો મોબાઈલ અને ₹4,000 રોકડા જપ્ત કર્યા હતા. પાર્લર પર સવારે ફ્રેશ થવા ઉભેલા બે ટર્બો ચાલકો, રખાવ, તા. સરસ્વતીના બળવંતજી (હાલ પાટણ) અને તેનો કંડક્ટર કાંતિજી ઠાકોર (ઉ.વ. 19, રખાવ, તા. સરસ્વતી)ની પૂછપરછ કરી, બળવંતજીનો ₹7,000નો ફોન તપાસ અર્થે કબજે લીધો હતો. બીજા ટર્બો ચાલક સાણોદરડા, તા. સરસ્વતી (મૂળ કંબોઈ, તા. કાંકરેજ)ના વિરસંગજી ઠાકોર પાસેથી પણ પોલીસે ₹6,000નો મોબાઈલ તપાસ અર્થે કબજે લીધો હતો. પાર્લર સંચાલક રિન્કુ અને તેના નાસી ગયેલા ભાઈ કલ્પેશ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 303(1), 303(2), 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના દિવસે વડોદરા શહેર-જિલ્લાના શિવાલયો 'બમ બમ ભોલે...'ના નાદથી ગૂંજી ઉઠ્યા છે અને આસ્થા-ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી વડોદરા શહેરના મંદિરો 'બમ બમ ભોલે...', 'હર હર મહાદેવ...' ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારથી શિવાલયો ખાતે દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી...આ મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવાલયોમાં મહાશિવરાત્રી હોવાથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર, ભજન કિર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઠેરઠેર યોજવામાં આવ્યા છે. તો શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના પણ કરી રહ્યા છે. મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ દર્શન માટે લાંબી લાંબી લાઈનો લગાવી છે. પરંપરા અનુસાર વડોદરા શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે શિવજી કી સવારીનું પ્રસ્થાન થશે. સાંજે સૂરસાગર તળાવ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. નાથ પરંપરાના નવ મંદિરો કે જે નવનાથ મંદિર તરીકે ઓળખાય છે. તે તમામ મંદિરોમાં પણ સોમવારે રાતથી જ બાર પહોરની પૂજાનો પ્રારંભ કરી દેવામા આવ્યો હતો. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રી નિમિત્તે વિવિધ પૂજા અર્ચનના આયોજન કરાયા છે. કમાટીબાગ પાસે આવેલા કામનાથ મહાદેવ મંદિરના ઘાટ પર યજ્ઞાનું પણ આયોજન કરાયુ છે. આ ઉપરાંત શહેર જિલ્લામાં આવેલા શિવાલયો સહિતના સ્થળોએ વિશેષ પૂજા કિર્તન સાથે ધાર્મિક આયોજન પણ થયા છે. શ્રદ્ધાળુ કિરણભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે હું મહાદેવના દર્શન કરવા આવ્યો છું. હું અહીં મારા જન્મ સમયથી એટલે કે છેલ્લા 71 વર્ષથી આવું છું. મને અહીં આવવાની દિલથી ઈચ્છા થાય છે. અમારી ઘણી બધી મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે, જેનાથી અમારી આસ્થામાં સતત વધારો થાય છે. આ નવું મંદિર તો હમણાં બન્યું છે, પણ જે જૂનું મંદિર હતું તે ખરેખર એટલું મનોરમ્ય હતું કે વાત જ ન પૂછો! તમે અહીં આવો તો તમને મનમાં ખૂબ જ શાંતિનો અનુભવ થાય. અત્યારે પણ એટલી જ શાંતિ છે જેટલી પહેલા હતી. હું દરેક ભાવિ ભક્તોને વિનંતી કરું છું કે આપ પણ શિવરાત્રી નિમિત્તે મહાદેવના દર્શન કરો, ભગવાન આપની તમામ મનોકામના પૂર્ણ કરે. શ્રદ્ધાળુ અજયભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે. વડોદરાની મધ્યમાં આવેલું આ અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે, જેના પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા છે. હું આજે અહીં મહાદેવના દર્શન કરવા માટે આવ્યો છું. હું દર વર્ષે અહીં આવું છું અને મંદિરમાં સેવા પણ આપું છું. આ મંદિર ખૂબ જ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં તમે સાચા દિલથી અને શ્રદ્ધાથી જે કંઈ પણ માંગો છો, મહાદેવ તે ઈચ્છા ચોક્કસ પૂરી કરે છે અને આશીર્વાદ આપવા હંમેશા તત્પર હોય છે.
શિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં 5 દિવસીય મેળાનું આયોજન થાય છે, જેમાં શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓને મૃગીકુંડમાં નાહવાનો મહિમા છે. પરંતુ સાધુઓમાં કેટલાક માથા ફરેલ અને વિચિત્ર હરકતો કરતા તેમનો ભોગ અન્ય સાધુઓ અને સામાન્ય પ્રજા બનતી હોય છે. તાજેતરમાં જ ગિરનારના મેળામાં એક નાગા સાધુએ ઉત્પાત મચાવતા પોતાના પાલતુ વાનર વડે શ્રદ્ધાળુઓને બચકા ભરાવ્યા હતા અને હેરાન કર્યા હતા. ગત જાન્યુઆરી મહિનાના અંતમાં નાગા સાધુ શિવગીરીએ જાહેરમાં તલવાર લહેરાવીને સામાન્ય નાગરિકોને ફટકાર્યા હતા. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં પ્રવેશ પર બંધીઆ સાધુ સામે 2018થી 2026 સુધીમાં ભવનાથ પોલીસ મથકે કુલ 6 ગુના નોંધાયેલા છે, તેનો વીડિયો સામે આવતા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનો ગેરકાયદેસર આશ્રમ તોડી પાડવામાં આવ્યો હતો. જેમાંથી 50 જેટલા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. ત્યારે ઓથોરિટીએ તેને જાન્યુઆરી મહિનાના અંતમાં જ ફક્ત જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કર્યો હતો. આ પણ વાંચો…જૂનાગઢના શિવગિરિએ સાધુવેશમાં મચાવેલા આતંકનો VIDEOશિવગીરીએ જૂનાગઢ જવા દેવા હાઈકોર્ટમાં અરજી કરી શિવરાત્રિના દિવસે તેને જૂનાગઢમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, વર્ષમાં ફક્ત એક વખત શિવરાત્રિમાં સાધુને ભવનાથમાં ઉપસ્થિત રહેવું જરૂરી છે. વર્ષમાં એક જ દિવસ તેના માટે મહત્વનો છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તેને આચરેલા કૃત્યો કરતા પહેલા પરિણામ વિશે તેને વિચારવું જોઈતું હતું. જો કે, તેના વકીલે જણાવ્યું હતું કે, તડીપારનો નિર્ણય યોગ્ય નથી. તેની સામે 2018થી 2026 દરમિયાન નોંધાયેલા 6 કેસમાંથી 3 કેસમાં તે નિર્દોષ છૂટ્યો છે. તડીપાર માટે તેને નોટિસ 28, જાન્યુઆરીએ આપીને 29, જાન્યુઆરીએ સુનાવણી કરી દેવાઈ હતી. તેની ઉપર બાકીના જે ત્રણ કેસ બચ્યા છે તે સામાન્ય ઇજા કરવાના છે. હાઇકોર્ટેનો શિવરાત્રિ પૂરતો પણ રાહત આપવાનો ઇનકારઅરજદાર નાગા સાધુ દર વર્ષે શિવરાત્રિના મેળામાં સવા લાખ રુદ્રાક્ષ ધારણ કરી જૂનાગઢમાં તપ કરે છે. કોર્ટ મેરીટ ઉપર તેઓને સાંભળે. તડીપારના હુકમ વિરુદ્ધ અપીલ કરાતા તેમને 17, ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તંત્ર ઇછી રહ્યું છે કે અરજદાર નાગા સાધુ શિવગીરીના કૃત્યોને જોતા શિવરાત્રિના મેળામાં તે જૂનાગઢમાં હાજર રહે નહીં. આ નિર્ણય તેના વર્તન પરથી લેવામાં આવ્યો છે. તે જ્યાં હોય ત્યાં રહીને જ ભગવાનની ભક્તિ કરે, હાઇકોર્ટે તેને શિવરાત્રિ પૂરતો પણ રાહત આપવાનો ઇનકાર કરીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. ઉલ્લેખનીય છે કે નાગા સાધુ શિવગીરી ઉપર 28 જાન્યુઆરી, 2026ના રોજ ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તેને લોખંડની તલવાર લઈને સુદર્શન તણાવ પાસે જાહેરમાં ઉત્પાત મચાવતા જાહેરનામાનો ભંગ કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેને ગુનાની કબુલાત કરતા તેને 500 રૂપિયાનો દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો. 2023માં સાધવીને પેટના ભાગે તલવાર મારી દીધી હતી2023માં ભવનાથ પોલીસ મથકે તેની ઉપર IPCની કલમ 307 મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. તેણે તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળામાં તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરતો હતો. ત્યારે એક સાધવીએ તેને તેવું કરવાની ના પાડતા આ માથાભારે નાગા સાધુએ તેના પેટના ભાગે તલવાર મારી દીધી હતી. સાધ્વીને હોસ્પિટલમાં દાખલ કરતા, ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. એક મહંતના આશ્રમે જઈને વ્યક્તિને માર માર્યો હતો 2023માં ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી અન્ય એક ફરિયાદ મુજબ શિવગીરી ઘોડા ઉપર સવાર થઈને એક મહંતના આશ્રમે જઈ ચડ્યો હતો અને મહંતને ગાળો આપીને, મહંત તથા અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો. 2024માં રાજ્ય સરકારે તેને જામીન શરતોનો ભંગ કરવા બદલ તેની જામીન રદ કરવા માટે જૂનાગઢની કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે તે અરજી નકારી નાખી હતી. મોબાઈલ વિશે પૂછતાં યુવકને ફટકાર્યો2021માં તેને એક સાધુને લાકડીથી માર માર્યો હતો. જો કે પુરાવાના અભાવે આ કેસમાં નિર્દોષ છૂટ્યો હતો. 2018માં એક ફરિયાદીએ ભવનાથ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. ત્યારે તેને તે અંગે આસપાસમાં શોધખોળ કરતા, ત્યાં નાગા સાધુ શિવગીરીને પૂછ્યું હતું જેથી શિવગીરીએ ઉશ્કેરાઈને તેના માથામાં પાઇપ મારી હતી અને કાચની તૂટેલી બોટલથી જમણા હાથમાં ઈજા કરી હતી. આ કેસમાં પણ તેને જામીન મળ્યા હતા. ત્યારબાદ તેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવાયો હતો. આ પણ વાંચો.. ભવનાથના મેળામાં નાગા સાધુ બગડ્યા, તલવાર લઈ પાછળ દોડ્યા, સૂતેલા લોકોને ડરાવ્યા; પાલતુ વાનરથી હુમલો કરાવતા અનેકને બચકાં ભર્યાં
બીલીમોરા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીએ ભક્તો ઉમટ્યા:UKથી ખાસ શિવરાત્રી માટે આવ્યું દંપતી
બીલીમોરાના પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ ભક્તોમાં યુનાઇટેડ કિંગડમ (UK) થી ખાસ શિવરાત્રી માટે આવેલા એક NRI દંપતી પણ સામેલ હતું. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શિવલિંગ પર ઘી કમળ અર્પણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દક્ષિણ ગુજરાતમાં આવેલા શિવાલયોમાં બીલીમોરાનું આ મીની સોમનાથ મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. ૧૦૮ ફૂટ ઊંચા શિખર અને અદ્ભુત કલાકારીગરીથી સુશોભિત આ મંદિર તેની ભવ્યતા માટે જાણીતું છે. મંદિર સંકુલમાં પ્રવેશવા માટે સોમનાથ રોડ પર એક ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર આવેલું છે. આ દ્વાર પાર કર્યા પછી વિશાળ ચોગાન અને ત્યારબાદ મંદિરનું મુખ્ય ઉત્તરદ્વાર આવે છે, જે ૨૦ ફૂટ ઊંચું અને આકર્ષક છે. ઉત્તર દ્વારની ઉત્તરે એક સુંદર બગીચો, ફુવારો અને બાળકો માટે ક્રીડાંગણ પણ છે. ઉત્તર દ્વાર જેવું જ એક દક્ષિણ દ્વાર પણ છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરના ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના મૂળ સ્થાને બિરાજમાન છે. શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપ જોવા મળે છે, જે ભવ્ય ઘુમટ નીચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુદ્ધ ચાંદીના કલાકારીયુક્ત પતરાથી મઢવામાં આવ્યા છે. બહારના બે સુંદર ગોખમાં ભગવાન ગણેશજી અને હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપિત છે.
જીવલેણ અકસ્માત:પુરપાટ ઝડપે દોડતી રિક્ષાએ સ્કૂટર ચાલક વૃદ્ધનો ભોગ લીધો
વડવાચોરા મેલડીમાના ખાચામાં રહેતા રાજુભાઈ હરિભાઈ દવે ના મોટાભાઈ કિશનભાઇ હરિભાઈ દવે (ઉં. વર્ષ 72) ગત તા. 12 ના પોતાની tvs સ્કૂટર લઈ બાહુબલી કોમ્પલેક્ષ થી તાલુકા પંચાયત પાસે થઈ સર્ટીહોસ્પિટલ તરફ જતા હતા તે દરમિયાન તાલુકા પંચાયતની પાછળ રોડ પર કાળાનાળા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રીક્ષા નંબર gj 04 au 6436 ના ચાલકે કિશનભાઇ ને હડફેટમાં લઈ અકસ્માત સર્જી નીચે પછાડી દેતા તેને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે જોઇન્ટ ચેરિટી કમિશનરની કોર્ટ કચેરી તથા ચેમ્બર, બાર રૂમ, નાયબ ચેરિટી કમિશ્નર અધિકારીની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, કાયદા વિભાગના સચિવ યુ. એમ. ભટ્ટ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનના નિર્માણથી ટ્રસ્ટ સહિતના લોકોને સુવિધામાં ઘરઆંગણે જ વધારો થશે તેમજ અદ્યતન વ્યવસ્થાને કારણે તમામ કામગીરી સુવ્યવસ્થિત રહેશે જેનો લાભ તમામને મળશે.
ભાવનગર શહેર નજીક આકાર લઈ રહેલા ભાવનગર નવા બંદર ખાતે બહુહેતુલક્ષી પોર્ટ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોન્કોર) દ્વારા કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણી માટે કરાર થયા બાદ સંભવિત કાર્ગો ટ્રાફિક અને વ્યાપારિક શક્યતાઓ અંગે પ્રાથમિક ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પગલાને કારણે ભાવનગર બંદર આવનારા સમયમાં મધ્ય ગુજરાત માટે મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ હબ બની શકે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે. થોડા મહિના પહેલાં કોન્કોર અને ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા હતા. ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પહેલેથી જ સત્તાવાર કરાર કરવામાં આવ્યો છે. કરાર મુજબ, ભાવનગર પોર્ટ ઈન્ફ્રાને 30 વર્ષના લીઝ આધારે 235 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે, જ્યારે ભવિષ્યમાં વધુ 250 હેક્ટર વિસ્તાર વધારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટના વિકાસથી મધ્ય ગુજરાત તથા ઔદ્યોગિક રીતે ઝડપથી વિકસતા વિસ્તારોને સીધી દરિયાઈ સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, જે ભાવનગરથી આશરે 60 કિ.મી. દૂર વિકસિત થઈ રહ્યું છે, ત્યાં સ્થાપિત થનારા ઉદ્યોગોને આયાત-નિકાસ માટે સરળ માર્ગ મળશે. ઉદ્યોગકારો માટે કાચા માલની આયાત અને તૈયાર માલની નિકાસમાં દરિયાઈ પરિવહન સૌથી સસ્તું અને કાર્યક્ષમ માધ્યમ માનવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો મુજબ, દેશમાંથી થતી કુલ નિકાસમાં આશરે 95 ટકા નિકાસ કન્ટેનર મારફતે થાય છે. આવા સમયમાં ભાવનગર બંદરના નોર્થ ક્વે ખાતે વિકસિત થનારા આધુનિક કન્ટેનર ટર્મિનલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. નવી સુવિધાઓથી કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા વધશે, ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે અને વેપારીઓને સમયસર સેવા મળશે. ભાવનગર પોર્ટથી ધોલેરાને સડક માર્ગે જોડવા નવા રિંગ રોડથી સીધા કાળાતળાવ લિંક રોડ બની રહ્યો છે, તેનાથી શહેરના ટ્રાફિકને અડચણ પણ નડે નહીં અને માલ પરિવહનના ટ્રક સીધા પોર્ટ સુધી પહોંચી શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર આકાર લઇ રહ્યું છે. 95% નિકાસ કન્ટેનર મારફતે થતી હોવાનો અંદાજ, ભાવનગરનું નવું ટર્મિનલ બનશે ગેમચેન્જર સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટભાવનગર-ધોલેરાને રેલ લાઇનથી જોડવાની તત્પરતાધોલેરા સરના ઉદ્યોગોના તૈયાર માલની નિકાસ ભાવનગર બંદરે આકાર લઇ રહેલા કન્ટેનર ટર્મિનલથી થવાની શક્યતાના આધારે જ ભાવનગર-ધોલેરાને રેલ લાઇનથી જોડવા માટેની પણ પ્રક્રિયા શરૂ થઇ છે. કન્ટેનર કાર્ગો ટ્રેન સીધી નવા પોર્ટ કન્ટેનર ટર્મિનલ સુધી જશે અને બંદરેથી કન્ટેનર વડે તૈયાર માલની નિકાસ થશે. - નિરજભાઈ કેશવાણી, નિવૃત્ત અધિકારી, ઉદ્યોગ ભવન
રત્નકલાકારોમાં ખુશીનો માહોલ:14,400 રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારે રત્નકલાકારો માટે જાહેર કરેલા વિશેષ પેકેજ અંતર્ગત ભાવનગર જિલ્લાના લાભાર્થી 14,400 રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાજેતરમાં યુ.એસ. સાથે થયેલી ટ્રેડ ડીલથી સૌથી વધુ લાભ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને ફાયદો થવાનો છે. આ ટ્રેડ ડીલથી રાજ્યના લાખો વેપારીઓ માટે વેપારની નવી સંભાવનાઓ ખુલશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારે રત્નકલાકારો માટે જાહેર કરેલા વિશેષ પેકેજ અન્વયે ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરેલ રત્નકલાકારોના 14,400થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી રૂ.13,000થી વધુની રકમ ચુકવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન અનેક રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયથી રત્નકલાકારોના બાળકોને અભ્યાસમાં મદદ મળશે.
181ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:નિરાધાર પીડિતાનું માતા પિતા સાથે મિલન કરાવતી 181ની ટીમ
સિહોર તાલુકાના વિસ્તારમાં એક મહિલા હોસ્પિટલ સારવાર માટે જતા જાણવા મળ્યું હતુ કે પીડિત મહિલા પર તેમના પતિએ હાથ ઉપાડેલ છે અને ઘરેથી બહાર કાઢી મૂકેલ છે જેથી પીડિતા સારવાર માટે હોસ્પિટલ એકલા આવેલ હતા . પીડિતાના પ્રેમ લગ્ન હોવાથી તેમના માતા પિતા સાથે પણ કોઈ સંબંધ નથી . પીડિતા એકલા હોય અને તેમની પાછે કોઈ આશ્રય ન હોય જેથી સિહોર હોસ્પિટલ માંથી 181 નંબર પર કોલ કરીને પીડિતાની મદદ માટે 181 ટીમની હેલ્પ લીધી હતી. 181ની ટીમે મહિલાના માતા પિતાનો કોન્ટેક્ટ કરી પીડિતાના બનાવ વિશે જાણ કરી ને પીડિતાને ઘરે રાખવા સમજાવતા સુખદ અંત આવ્યો હતો. આ પ્રકરણમાં 181 ટીમ ઘટના સ્થળે પહોંચી ને પીડિત મહિલાની મુલાકાત લીધી હતી . પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યા મુજબ પીડિતા ના લગ્ન ને 1 વર્ષ થયું છે પીડિતા ના પ્રેમ લગ્ન છે જેથી મારા પિતા સાથે પણ કોઈ કોન્ટેક્ટ નથી પીડિતા ને તેમના પતિ એ નજીવી બાબત માંથી હાથ ઉપાડેલ અને ઘરેથી બહાર કાઢી મૂકેલ હતા. જેથી પીડિતા તેમની સારવાર માટે હોસ્પિટલમાં આવેલ હતા પીડિતા ને તેમના પિયરમાં જવું હોય પણ માતા પિતા રાખશે નહીં નો ડર હોવાથી 181 ટીમ ના કાઉન્સેલર દ્વારા મહિલાના માતા પિતાનો કોન્ટેક્ટ કરી પીડિતાના બનાવ વિશે જાણ કરી ને પીડિતાને ઘરે રાખવા સમજાવ્યા હતા . દીકરીની હાલત વિશે સાંભળીને માતા પિતાથી દીકરીનું દુઃખ જોવાયું નહીં ને દીકરી ને પોતાની પાછી બોલાવી લીધી હતી . પીડિતા ને તેમના પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં કરવી ને પીડિત મહિલાને તેમના માતા પિતાને સોંપવામાં આવેલ હતા .
ઉનાળાના આરંભના સંકેતો દેખાયા:મહાશિવરાત્રિ આવીને 20.3 ડિગ્રીએ ઠંડીનો ચમકારો ગાયબ
આવતી કાલ તા.15 ફેબ્રુઆરીને રવિવારે મહાશિવરાત્રિનું પર્વ છે. આપણે ત્યાં કહેવાય છે કે આ પર્વથી ઠંડી ઓછી થાય છે અને હોળીએ ઠંડી સાવ ગાયબ થાય છે. ત્યારે ભાવનગર શહેરમાં હવે બપોરના સમયે ઉનાળાના આરંભના સંકેત આપતી ગરમીનો આરંભ થઇ ગયો છે. આજે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. બપોરના સમયે અને રાત્રે પણ હવે ઘરોમાં પંખા કે એસી શરુ થઇ ગયા છે. આજે શહેરમાં બપોરના સમયે સામાન્યથી 3 ડીગ્રી સેન્ટીગ્રેડ વધુ તાપમાન નોંધાયુ હતુ જ્યારે રાત્રે સામાન્ય હોવું જોઇએ તેનાથી 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા રાતના સમયે ઠંડીનો ચમકાર પણ હવે ધીમી ગતિએ ગાયબ થવા લાગ્યો છે. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે નજીવું વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 19.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 29 ટકા થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધીને 10 કિલોમીટર નોંધાઇ હતી. આવતી કાલ તા.15મીથી ગરમીમાં વધારો થશે.
PGVCLની વસૂલાત ઝૂંબેશ:વીજળીનું બિલ નહીં ભરનારા 1579 ગ્રાહકોના વીજળીના જોડાણ કપાયા
હિસાબી વર્ષના છેલ્લા ત્રિમાસિક સમયગાળા પહેલા PGVCL દ્વારા પરંપરાગત રીતે કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર PGVCL સર્કલમાં ચાલુ ફેબ્રુઆરી મહિનામાં વીજળીનું બિલ નહીં ભરનારા ગ્રાહકો પાસેથી બાકી રકમની ખાસ વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની 1લી ફેબ્રુઆરી-2026થી એક પખવાડિયામાં 4503 કર્મચારીઓને કામે લગાડી આદરેલી કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં વીજળીનું બિલ નહીં ભરનારા 1579 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નખાયા છે. PGVCL ભાવનગર સર્કલ દ્વારા ફેબ્રુઆરી-2026 મહિનાથી ડિવિઝન કક્ષાની કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવના આયોજનમાં ગ્રાહકોની સંખ્યા સાથે બાકી લ્હેણી રકમની રોજીંદી માહિતી તૈયાર કરાઈ રહી છે. કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ભાવનગર PGVCLના પાંચ ડિવિઝનમાં 4503 કર્મચારીઓની ટીમો સાથે વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયામાં ભાવનગર જિલ્લામાં કુલ 50352 ગ્રાહકો પાસેની વીજ બિલની બાકી લ્હેણી રકમની વસુલાત કરવામાં આવી છે ત્યારે આગામી તા.31મી માર્ચ-2026 સુધીમાં સર્કલ ડ્રાઈવ સાથે PGVCL દ્વારા કલેક્શન અને ડિસકનેક્શનની કામગીરી તેજ બનાવવામાં આવશે. ભાવનગર PGVCL સર્કલમાં કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ફેબ્રુઆરી-2026 મહિના પ્રથમ પખવાડિયામાં કુલ રૂ.16.45 કરોડની વસુલાતમાં સૌથી વધુ વસુલાત પાલિતાણા ડિવિઝનમાંથી 5.07 કરોડ, ભાવનગર સિટી-2 ડિવિઝનમાંથી 3.42 કરોડની અને મહુવા ડિવિઝનમાંથી 3.25 કરોડની થઇ છે.
વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રોહન હાઉસ કીપીંગનું કામ કરે છે. કતારગામ રહેતી 16 વર્ષીય કિશોરી રોહનના ઘર નજીક રહેતી તેની બહેનપણીના ઘરે આવતી હતી. ત્યારે બન્નેની આંખ મળતા પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. વેલેન્ટાઈન ડેના બે દિવસ પહેલા તા.12મીએ બન્ને ઘરેથી ભાગી ગયા હતા. પ્રેમીપંખીડા ભાગી જતા સગીરાના પિતાએ કતારગામ પોલીસમાં પુત્રીના અપહરણની ફરીયાદ નોંધાવી હતી. 13મીએ બપોરે રોહન અને કિશોરી બોટનિકલ ગાર્ડનમાં ગયા હતા. જ્યાં રોહને ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કિશોરીએ ઝેર પીધું ન હતું. ત્યાર બાદ બન્ને ત્યાંથી ઘરે જવા નીકળ્યા હતા. જોકે કિશોરી ઘરે ગઈ ન હતી અને પરત રોહનના ઘર તરફ પહોંચી હતી અને રોહનને મળી હતી. જ્યાં રોહને પોતાના હાથના ભાગે બ્લેડ વડે ઈજા પહોંચાડતા કિશોરીએ પણ પોતાના હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઘટના તરફક કોઈકનું ધ્યાન જતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને સારવાર માટે દાખલ કરાયા છે. બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યોજહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રોહન ઘરે પૈસા આપતો ન હોવાથી તે બાબતે પરિવારે ઠપકો આપતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જ્યારે કિશોરીએ પરિવારની રોકટોકના કારણે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
7 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે લાભ:વરાછા, લિંબાયત અને રાંદેરમાં પાંચ નવી સરકારી સ્કૂલોની ભેટ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શનિવારે શહેરના વિવિધ ઝોનમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગના સહયોગથી અંદાજે ₹27 કરોડના ખર્ચે એક સ્કૂલનું લોકાર્પણ અને 4 સ્કૂલના ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ નવી સુવિધાઓથી શહેરના 7 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધો શૈક્ષણિક લાભ મળશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા અત્યાર સુધી મહાપાલિકાની શિક્ષણ સમિતિ માટે ₹250 કરોડથી વધુના ખર્ચે 60થી વધુ સ્કૂલ ભવનો મંજૂર કરવામાં આવ્યા છે, આ સુવિધાઓ હશે 3 ઝોનમાં 5 સ્કૂલો
નોકરી ન્યુઝ:HCLમાં ચાર્જમેન સહિતની 18 પોસ્ટ ભરાશે, પગાર 72 હજાર
હિન્દુસ્તાન કોપર લિમિટેડે (HCL) ચાર્જમેન, ઇલેક્ટ્રિશિયન અને WED ની 18 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. ITI, ડિપ્લોમા કે BA/B.Sc/B.Com સાથે અનુભવ ધરાવતા ઉમેદવાર 25 ફેબ્રુઆરી સુધી www.hindustancopper.com પર અરજી કરી શકશે. પસંદગી પામનારને 72,110 સુધીનો માસિક પગાર મળશે. પસંદગી લેખિત પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટના આધારે કરાશે. સામાન્ય વર્ગ માટે રૂ. 500 ફી નક્કી કરાઈ છે. www.hindustancopper.com પર જઈ Recruitment સેક્શનમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શૈક્ષણિક વિગતો, અનુભવના પ્રમાણપત્રો અને ફોટો-સિગ્નેચર અપલોડ કરીને ફી ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખવી. નિમ્ન પદો માટે જરૂરી લાયકાત અને અનુભવ
આશ્રમશાળાના 100 વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાત માટે પસંદગી પામ્યા
વિજ્ઞાન પ્રેરણા અભિયાન અંતર્ગત પસંદગી ગ્રામિણ વિદ્યાર્થીઓને મળશે અંતરિક્ષ સંશોધનનો પ્રત્યક્ષ અનુભવ મુંબઈ - રાજ્ય સરકારના વિજ્ઞાાન પ્રેરણા અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રની વિવિધ આશ્રમશાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ની મુલાકાત માટે પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની પસંદગી શૈક્ષણિક ગુણવત્તા પરીક્ષાના ગુણના આધારે કરવામાં આવી છે. તેઓ ૧૫થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ઇસરોના વિવિધ વૈજ્ઞાાનિક કેન્દ્રોની મુલાકાત લેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અત્યારે બીમારીનું કેન્દ્ર બની ગઈ હોવાનો આક્ષેપ ABVPકરી રહી છે. હોસ્ટેલમાં જ્યાં પહેલા 400 વિદ્યાર્થીઓ જમતા હતા, ત્યાં ભોજનની ખરાબ ગુણવત્તાને કારણે સંખ્યા ઘટીને માત્ર 15-20 પર પહોંચી ગઈ છે. હલકી કક્ષાનું તેલ, ખરાબ શાકભાજી અને ઉતરતી કક્ષાના મસાલાથી અનેક વિદ્યાર્થીઓને પેટની ગંભીર સમસ્યાઓ થવા લાગી છે. આ મુદ્દે ABVP દ્વારા 15 દિવસ પહેલા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં વહીવટી તંત્રની કુંભકર્ણી નિદ્રા ન ઉડતા શનિવારે કેમ્પસમાં ઉગ્ર આંદોલન છેડાયું હતું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી નબળા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. સત્તાધીશો જો 48 કલાકમાં કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફી ભર્યા છતાં હલકી કક્ષાનું ભોજનહોસ્ટેલના છોકરાઓ કંઈ મફતમાં નથી જમતા, પૂરી ફી ભરે છે તો તેમને આવું સડેલું ખાવાનું કેમ અપાય છે? 15 દિવસથી અમે શાંતિથી કહીએ છીએ પણ આ તંત્રને કંઈ પડી નથી. જો 48 કલાકમાં આ કોન્ટ્રાક્ટરને ઘરભેગો નહીં કરાય ને, તો યુનિવર્સિટીના દરવાજે તાળાબંધી કરીશું > કૃતિક પટેલ, કેમ્પસ અધ્યક્ષ (ABVP) તપાસ કરીશું, કડક કાર્યવાહી કરાશેવિદ્યાર્થીઓની રજૂઆત મળી છે. મેસના ભોજનની ગુણવત્તા બાબતે તપાસ હાથ ધરી છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું ઉલ્લંઘન જણાશે કે ભોજન હલકી કક્ષાનું સાબિત થશે, તો કડક કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. > ડૉ. આર. સી. ગઢવી, કુલસચિવ (VNSGU) સમરસમાંથી તગેડાયેલાને જ કોન્ટ્રાક્ટABVPના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે નવી એજન્સીને હાલમાં મેસનો કોન્ટ્રાક્ટ અપાયો છે, તે અગાઉ સમરસ હોસ્ટેલમાં કાર્યરત હતી. ત્યાં પણ આ એજન્સી દ્વારા પીરસવામાં આવતા ખરાબ ભોજન સામે ABVPએ ઉગ્ર આંદોલન છેડ્યું હતું, જેના પરિણામે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવી હતી. હવે આ જ વિવાદિત એજન્સીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેસનો કોન્ટ્રાક્ટ મેળવી લેતા વહીવટી તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પાણી કાપ:સચિન અને કનકપુર સહિતના વિસ્તારોમાં 17મીએ પાણી કાપ
ઉધના-બી (કનકપુર) વિસ્તારના 2 લાખ લોકોએ આગામી 17મી એ મંગળવારના રોજ પાણી કાપ સહન કરવો પડશે. પાણી પુરુ પાડતાં ડિંડોલી જળ વિતરણ મથક હેઠળની લાઈન માંથી લીકેજ હોવાનું મળી આવતાં હાઇડ્રોલિક ખાતું દોડતું થઈ ગયું છે લીકેજ મળતાં હવે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનારી છે. હાઇડ્રોલિક ખાતાના જણાવ્યા મુજબ ડિંડોલી જળ વિતરણ મથક હેઠળ આવતી 600 મી.મી. વ્યાસની ડી.આઈ. લાઈન પર લીકેજ જોવા મળ્યું છે. આ લીકેજ સમારકામ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે 17મી મંગળવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
તુષાર ઘેલાણી આત્મહત્યા પ્રકરણ:તુષાર ઘેલાણીને બ્લેકમેઇલ કરવાના કેસમાં સીસીટીવીના આધારે તપાસ
તુષાર ઘેલાણી આત્મહત્યા પ્રકરણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ બાદ પોલીસે હવે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્યારે તેમના મોબાઇલ ડિટેઇલની પણ તપાસ શરૂ થશે. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ દિકરીના લગ્નના પાંચ દિવસ પહેલા જ 1લી ફેબ્રુઆરીએ લમણે ગોળી મારી દીધી હતી. પાંચ દિવસ સુધી સારવાર બાદ તેમનું મોત થયું હતું. આ બનાવ બાદ તેમની દિકરી તન્વીએ પોલીસમાં અરજી કરી હતી. જેમાં એક પરપ્રાંતિય મહિલા દ્વારા તુષાર ઘેલાણીને બ્લેકમેઇલ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ મહિલા અને તેની બહેન તુષાર ઘેલાણી હોસ્પિટલમાં હતા ત્યારે પણ ત્યાં આવી હતી અને તન્વીને ધમકી આપી હતી. આ અરજીની તપાસ એસીપી ઝેડ. આર. દેસાઇ એ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારના સીસીટીવી ફુટેજ લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. અરજીના આક્ષેપોના તથ્યો તપાસવામાં આવી રહ્યા છે. જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની તપાસ કરવામાં આવી છે. અન્ય આક્ષેપોના દસ્તાવેજો પણ તપાસવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાએ પણ તુષાર ઘેલાણીના પરિવાર સામે આક્ષેપ કરતી અરજી કરી છે. જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
26 વર્ષથી ટીપી સ્કીમો ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે અને સરકાર વિકાસના દાવા કરતી રહે છે. સુરત જેવા દેશના સૌથી ઝડપી વિકસતા શહેરમાં આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નહીં, પરંતુ શહેરી આયોજનની નિષ્ફળતા દર્શાવે છે. એક તરફ સરકાર ‘પ્લાન્ડ ડેવલપમેન્ટ’ના ભાષણો આપે છે, તો બીજીતરફ ટાઉન પ્લાનિંગ સ્કીમો સમયસર ફાઈનલ ન થતાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો અટવાઈ રહ્યા છે, રોકાણ અટકી રહ્યું છે. હવે ક્રેડાઈ (કોન્ફડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) દ્વારા શહેર વિકાસ મંત્રી કનુ દેસાઈ સમક્ષ રજૂઆત કરી છે કે, 'સુરતની જે ટીપી સ્કીમો બાકી છે તેને વહેલી તકે અમલમાં મુકવામાં આવે.' સુરતમાં અમુક ટીપી સ્કિમ તો 26 વર્ષથી લટકેલી છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ક્રેડાઇએ રાજ્ય સરકાર સમક્ષ ટીપી સ્કીમો બાબતે ઘણી વખત રજૂઆતો કરી છે પરંતુ નિરાકરણ આવી શક્યું નથી. બમરોલી, મોટા વરાછા, કોસાડની 23 વર્ષથી અને આભવા-રાંદેરની 19 વર્ષથી TP ફાઇનલ થઈ નથી ટીપી વિલંબની સીધી અસર સરકાર ઝડપથી નિર્ણય લે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રગતિ આવશેસુરત જેવા ઝડપી વિકાસ પામતા શહેરમાં ટીપી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થવી એ માત્ર રિયલ એસ્ટેટનો મુદ્દો નથી પરંતુ સમગ્ર શહેરી વિકાસને અસર કરતો પ્રશ્ન છે. ટીપી સ્કીમ સમયસર જાહેર થાય તો ગોઠવણબદ્ધ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણમાં ગતિ આવે. સરકાર તરફથી ઝડપી નિર્ણય લેવાય તો રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી ગતિ આવી શકે છે. ટીપી સ્કીમો લાવવામાં ઈરાદો સારો પણ અમલીકરણ નિષ્ફળક્રેડાઈ સુરત પ્રમુખ ડો. જીજ્ઞેશ પટેલે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાનો ઈરાદો સારો છે પરંતુ અમલીકરણ નિષ્ફળ રહ્યું છે. પેન્ડિંગ ટી.પી બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા. પેન્ડિંગ ટી.પીને 90 દિવસમાં મંજૂર કરવામાં નહીં આવે તો આક્રમક પગલાં લેવાશે.
જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાન્યુઆરી-2026ના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડાઓ મુજબ ઉદ્યોગમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં કેટલાક સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે તો કેટલાકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડાયમંડ સેગમેન્ટમાં જાન્યુઆરી-2026 દરમિયાન 8895 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ થયો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8768 કરોડ રૂપિયા હતો. એટલે કે 1.16 ટકા જેટલો સામાન્ય વધારો નોંધાયો છે. લેબગ્રોન ડાયમંડમાં પણ 2.31 ટકાની વૃદ્ધિ સાથે 757 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે. પ્લેઈન ગોલ્ડ જ્વેલરીમાં 38.74 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. સિલ્વર જ્વેલરીમાં 117%નો વધારો નોંધાયો ભાસ્કર એનાલિસીસ: બદલાતી માંગ અને ઉદ્યોગ પર અસર ભવિષ્યમાં અસર: જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી વધુ ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ મિક્સ તરફ આગળ વધશે. સ્ટડેડ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં રોકાણ વધી શકે છે અને સિલ્વર-પ્લેટિનમમાં ડિઝાઇન ઇનોવેશન પર ભાર વધશે.
CBSE બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 17 ફેબ્રુઆરી 2026થી રાજકોટ સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના મેદાનમાં ઉતરશે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓ માટે માત્ર વાંચવું જ પૂરતું નથી, પરંતુ ઉત્તરવહીમાં જવાબ ક્યાં લખવો તે સમજવું પણ અનિવાર્ય બન્યું છે. બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ‘ડિજિટલ તપાસ પ્રણાલી’ અને ‘સેક્શન રૂલ’ પરીક્ષાની પધ્ધતિ બદલી નાખશે. નવા સેક્શનરૂપ પ્રમાણે ધો.10માં વિદ્યાર્થીઓએ જવાબ સાચો લખ્યો હશે પણ ખોટા સેક્શનમાં લખ્યો હશે તો પણ ઝીરો માર્ક મળશે. ધોરણ-10માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં છાત્રોએ હવે ખાસ તકેદારી રાખવી પડશે. વિજ્ઞાનના પેપરમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ મુખ્ય ભાગો હોય છે. બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીને પણ આ મુજબ વ્યવસ્થિત રીતે વિભાજિત કરવી પડશે. સંબંધિત વિષયના જવાબો તેના ચોક્કસ સેક્શનમાં જ હોવા જોઈએ. CBSE ની આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને નિષ્પક્ષ બનાવવાનો છે. બોર્ડ હવે ઓન-સ્ક્રિન માર્કિંગ સિસ્ટમ તરફ વળી રહ્યું છે. સોફ્ટવેર પ્રશ્નોને સેક્શન વાઈઝ ફિલ્ટર કરતું હોવાથી જો જવાબ આડોઅવળો લખાયો હોય તો મૂલ્યાંકનકાર માટે તેને શોધવો અથવા માર્કસ આપવા મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં, રી-ઇવેલ્યુએશન (પુનઃ તપાસ) વખતે પણ જો ભૂલ વિદ્યાર્થીની હશે (ખોટો સેક્શન લખ્યો હશે) તો બોર્ડ કોઈપણ પ્રકારની રાહત આપશે નહીં. કામની વાત : પરીક્ષામાં માર્ક ન કપાય તે માટે વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ધ્યાન રાખે બોર્ડે વિદ્યાર્થીઓ માટે સેમ્પલ પેપર પણ આપ્યા છે, શાળાઓમાં પણ આ જ સિસ્ટમથી પરીક્ષા લેવાશેCBSE બોર્ડમાં પહેલા એવું હતું કે, સાયન્સ કે સોશિયલ સાયન્સના પેપરમાં બધા સેક્શન એકસાથે જ પૂછાતા હતા. એટલે કે સેક્શન Aમાં કેમિસ્ટ્રી, બાયોલોજી કે ફિઝિક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. પરંતુ હવે ત્રણેય વિષય ડીવાઈડ કરી દીધા છે સેક્શન પ્રમાણે. ધારો કે સાયન્સનું પેપર હોય તો તેમાં ફિઝિક્સનું સેક્શન અલગ, કેમિસ્ટ્રીનું અને બાયોલોજીનું સેક્શન અલગ કર્યું છે. આનાથી એ પણ ખબર પડે કે પરીક્ષામાં ક્યાં વિષયનું કેટલી વેઈટેજ છે. વિષયવાઈઝ માર્કનું એનાલિસિસ થઇ શકે છે. કેન્દ્રીય બોર્ડે વિદ્યાર્થીઓને સમજવા માટે ઘણા સેમ્પલ પેપર પણ આપ્યા છે. શાળાઓને પણ ગાઈડલાઈન આપી છે કે શાળાકીય પરીક્ષાના પેપર પણ બોર્ડની આ નવી ગાઈડલાઈન પ્રમાણે જ સેટ કરવામાં આવે જેથી ફાઈનલ એક્ઝામમાં બાળકોને મુશ્કેલી ન પડે અને નવી સિસ્ટમથી તેઓ અનુકુળ થઇ જાય. - કાજલ શુક્લ, વાઈસ પ્રિન્સિપાલ, જીનિયસ સ્કૂલ શું છે નવો ‘સેક્શન રૂલ’આ વર્ષે ખાસ કરીને ધોરણ 10ના વિજ્ઞાન (Science) અને સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયોમાં નવો સેક્શન રૂલ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, પ્રશ્નપત્રમાં જે વિભાગ (Section) માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેનો ઉત્તર તે જ વિભાગ હેઠળ લખવો ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી સેક્શન ‘A’ ના પ્રશ્નનો સાચો ઉત્તર સેક્શન ‘B’ માં લખી નાખશે તો તેને તે પ્રશ્નના ગુણ નહીં મળે. ડિજિટલ ચેકિંગ સિસ્ટમમાં પેપર સ્કેન થઈને સોફ્ટવેર દ્વારા ચેક થતા હોવાથી, સિસ્ટમ માત્ર તે વિભાગમાં નિર્ધારિત કરેલા જવાબોને જ ઓળખશે. ખોટા સ્થાને લખાયેલા જવાબો ડિજિટલ સ્કેનિંગ દરમિયાન નજરઅંદાજ થઈ શકે છે.
NMMSનું પરિણામ:2.07 લાખમાંથી 20 વિદ્યાર્થીઓએ જ મેળવ્યા 90%થી વધુ માર્કસ!
રાજ્યના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી ‘નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ’ (NMMS) પરીક્ષાનું પરિણામ આજે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગત 3 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યભરમાં લેવામાં આવી હતી. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.sebexam.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. રાજ્યભરમાંથી નોંધાયેલા 2.07 લાખ વિદ્યાર્થીઓ વચ્ચેની આકરી સ્પર્ધામાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ એવા છે જેઓએ 90% થી વધુ ગુણ મેળવ્યા છે. 3 જાન્યુઆરીના રોજ લેવાયેલી આ પરીક્ષામાં રાજ્યના ખૂણેખૂણેથી લાખો વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષામાં સમગ્ર રાજ્યના 2.07 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 14 હજાર કરતાં વધુ સ્કૂલના 78 હજાર જેટલા વિદ્યાર્થીઓ 40 ટકા કરતા વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા છે. જ્યારે માત્ર 20 વિદ્યાર્થીઓ જ 90 ટકા કરતા વધુ ગુણ લાવી શક્યા છે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી નિયત ક્વોટા અનુસાર 5097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. NMMS પરીક્ષાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. 2.07 લાખ વિદ્યાર્થીઓમાંથી મેરિટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને જ આ વાર્ષિક શિષ્યવૃત્તિનો લાભ મળશે.
શહેરના આજી ડેમ પાસે, રામવનની સામે આવેલી કિસાન ગૌશાળામાં ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી ગૌપૂજન કરવામાં આવ્યું. જેમાં બ્રહ્મમુહૂર્તમાં કામધેનુ યજ્ઞ કરવામાં આવયો હતો. ત્યારબાદ 2000થી વધુ ગૌવંશનું સામૂહિક પૂજન કરવામાં આવ્યું. આ તકે વિવિધ શાળાના બાળકોએ મુલાકાત લઇ ગૌવંશને વહાલ કરી પૂજન કર્યું હતું. ઠેર-ઠેરથી ધૂન ભજન મંડળીની બહેનો આવીને ગૌવંશને ગોળ ખવડાવ્યો. કામધેનું યજ્ઞમાં 30 લોકો બેઠા હતા. અહીં ગૌશાળામાં અંધ, અપંગ, બીમાર 2300 ગૌવંશને રાખવામાં આવી છે. ભારતીય પરંપરાના કરુણા અને સ્નેહભર મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે GCCI તથા ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરાયું હતું.
શહેરમાં આજે ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઇ પૂજા-અર્ચના કરશે. શહેરમાં દરેક શિવમંદિરનો ઇતિહાસ તથા તેની વિશેષતાઓ જોડાયેલી છે. જેમાં રાજકોટ શહેરમાં આજી નદી કાંઠે, ભીચરીના નાકે આવેલું 500 વર્ષથી વધુ પૌરાણિક સ્વયંભૂ શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિરનો પણ અનોખો ઇતિહાસ જોડાયેલો છે. આ મંદિરમાં 8 વર્ષ પૂર્વે શિવલિંગ પર નાગદેવતાએ તેની કાંચળી માળાની જેમ સવારે ઉતારેલી પ્રસાદી સ્વરૂપે મળી હતી. અહીં શિવની સાથે શક્તિ એટલે કે, મહાકાલી મા, અંબાજી, ગણેશજી, હનુમાનજી પણ બિરાજમાન છે. ‘રાજબાઇમા’એ રેતીની ઢગલીથી શિવલિંગ બનાવ્યું હતું આ મંદિરમાં શિવલિંગ એક ચારણના દીકરી રાજબાઇમાએ પ્રગટ કરેલું હતું. જ્યાં તેમની સમાધિ પણ છે. રાજબાઇમાનો પહેલેથી જ નિયમ હતો કે, શિવપૂજા કર્યા બાદ જ અન્ન કે જળ ગ્રહણ કરતા હતા. તેમને સાસરે જવાનો સમય થયો અને તેઓ જવા નીકળ્યા ત્યારે રાત્રિના આ મંદિરના સ્થળે દીવાનો પ્રકાશ જોઇ રાત્રીરોકાણ કર્યું. તેમને ક્યાંય પણ શિવમંદિર ન મળ્યું તેથી પૂજા કરવા માટે રેતીની ઢગલી કરી શિવલિંગ બનાવ્યું અને સાચા મનથી પૂજા કરી. સાસરે જવાનું મોડું થતા તેમના સસરાએ ‘જોયા તમારા મહાદેવ’ તેમ કહી કડવા શબ્દ બોલ્યા અને શિવલિંગ પર ગાડું ચલાવ્યું. તેની સાથે જ રક્તની ધારા વહેવા લાગી. આ જોઇ રાજબાઇમાએ શિવલિંગની રેતીની ઢગલી ભેગી કરતાં જ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. ત્યારબાદ તેઓ સાસરે ન ગયા અને આજીવન ભક્તિ કરી અહીં જ જીવન વિતાવ્યું અને ત્યાં જ સમાધિ લીધી તથા રાજરાજેશ્વર નામ આપ્યું. શહેરના અન્ય 19 મંદિર અને તેની વિશેષતા
અકસ્માત સર્જાયો:બેકાબૂ થારે સ્કૂટરને ઉલાળ્યું, દંપતી સહિત ત્રણ ઘવાયા
શહેરના મવડી ચોકડી નજીક શનિવારે રાત્રિના પૂરપાટ ઝડપે ધસી આવેલી થારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા ટ્રિપલસવારી સ્કૂટરને ઉલાળ્યું હતું. થારની ઠોકરથી દંપતી અને તેની સાથેની બાળકી સ્કૂટર પરથી ફંગોળાયા હતા. અકસ્માતમાં રસ્તા પર પટકાયેલા લોકોને ઊભા કરવાને બદલે થાર ચાલકે રિવર્સમાં પોતાનું વાહન લઇને ભાગ્યો હતો. અકસ્માત સર્જી નાસી રહેલા થાર ચાલકને અટકાવવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો પૈકી એક યુવકને પણ ચાલકે ઉલાળ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, પોલીસે તપાસ શરૂ કરી હતી.
ખાર રાખીને કાર સળગાવી:બહેનને ભગાડી જનાર પ્રેમીના પિતાની કાર સળગાવી નાખી
શહેરના વિજય પ્લોટમાં રહેતા યુવકે નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટર્સમાં પાર્ક કરેલ તેની કારને એ વિસ્તારમાં રહેતા શખ્સે સળગાવી નાખી હતી. બહેનને પ્રેમી ભગાડી ગયો હોય તેનો ખાર રાખી પ્રેમીના પિતાની કારને સળગાવી દેવાઇ હતી. વિજય પ્લોટમાં રહેતા ચિરાગભાઇ બોદુભાઇ ઘોરી (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતિષ અગ્રાવતનું નામ આપ્યું હતું. ચિરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુું કે, નાણાવટી ચોક નજી રહેતો તેનો ભત્રીજો રાજ ચૌહાણ તેમની કાર પંદર દિવસ પહેલાં લઇ ગયો હતો અને કાર આવાસ ક્વાર્ટર્સના પાર્કિંગમાં પાર્ક કરી હતી. શનિવારે વહેલી સવારે પાંચેક વાગ્યે કારમાં આગ ભભૂકી હતી. ચિરાગભાઇએ ફરિયાદમાં એમપણ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર શાહિદ એક મહિના પહેલાં વિમલ સતિષ અગ્રાવતની બહેનને ભગાડી ગયો હતો. જે બાબતનો ખાર રાખી વિમલે ગત તા.9ના ફોન કરીને ચિરાગભાઇને ધમકી આપી હતી કે, જૂના કેસમાં સમાધાન કરી લે નહીં તો તને છરીના ઘોદા મારી દઇશ અને તારી કાર સળગાવી નાખીશ. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
36.1 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન:રાજકોટમાં ગરમીએ રેકોર્ડ બનાવી દીધો
ચાલુ વર્ષે શિયાળાની મોડી શરૂઆત બાદ વહેલી વિદાય શરૂ થઇ હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયા બાદ શનિવારે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશાના પવન ફૂંકાતા હોવા છતાં ગરમીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને રાજકોટમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું. સામાન્ય રીતે શરદપૂર્ણિમા બાદ ગુલાબી ઠંડી સાથે શિયાળાના પગરવ થતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે દિવાળી બાદ કમોસમી વરસાદ પડતા ઋતુચક્ર ખોરવાઈ ગયું હોય તેમ ઠંડીની મોડી શરુઆત થઇ હતી. જોકે શિયાળામાં પણ કડકડતી ઠંડીના ગણ્યા ગાઠ્યાં દિવસો જ રહ્યા હતા અને ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયા બાદ શિયાળાની વિદાયની થતી હોય ગરમીએ જોર પકડી લેતા મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીથી સતત ઉપર ચડી ગઈકાલે શુક્રવારે પારો 35.7 ડિગ્રી રહ્યો હતો. શનિવારે સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેર 36.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોના મતે 12 વર્ષ બાદ ફેબ્રુઆરીએ ગરમીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં 34.5, પોરબંદરમાં 34.3 અને ભાવનગરમાં 32.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ભૂતકાળમાં રાજકોટ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન લીકેજની ઘટનાઓ બની હોય ફિલ્ટર પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશનમાં ક્લોરિન લીકેજ થાય તો શું કરવું તેની સમજ આપવા મનપાના ઈજનેર, કેમિસ્ટ અને ક્લોરિન એટેન્ડન્ટ દ્વારા શહેરના વેસ્ટ ઝોન હેઠળ આવતા પમ્પિંગ સ્ટાફ માટે મહત્ત્વની તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશનના વોટર મેનેજમેન્ટ વિભાગે વેસ્ટ ઝોન હેઠળ આવતા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ, ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ, 150 ફૂટ રીંગ રોડ પમ્પિંગ સ્ટેશન, સોજીત્રાનગર પમ્પિંગ સ્ટેશન, મવડી પમ્પિંગ સ્ટેશન તથા વાવડી પમ્પિંગ સ્ટેશન ખાતેના સ્ટાફ માટે ક્લોરિન લીકેજ અટકાવવા બાબતની વિશેષ ટ્રેનિંગ આપી આકસ્મિક પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે કામગીરી કરી શકાય તે માટે SCBA એટલે કે ઓક્સિજન સેટ પહેરવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સાથે જ ક્લોરિન લીકેજ નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બ્લાઈન્ડ ક્લેમ્પ લગાવવાની પ્રક્રિયા તેમજ ક્લોરિન સેફ્ટી કિટના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
શિવરાત્રિ એટલે સનાતન સંસ્કૃતિનો ખાસ તહેવાર. આ દિવસે યજ્ઞ અને પૂજાનું ખાસ મહાત્મય છે. આ દિવસે સાચા હૃદયે થયેલી પ્રાર્થના પૂરી થાય છે. આ ધાર્મિક તહેવારને સામાજિક ઉત્તરદાયિત્વમાં સમાવવા માટે ભાસ્કરે વિચાર આપ્યો હતો કે શહેરના વૃદ્ધાશ્રમોમાં યજ્ઞ કરાવવો જોઇએ. જે યજ્ઞમાં વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ઘટે તેવી પ્રાર્થના થાય. આ વિચારને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક અનુપમભાઈ દોશી અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયાએ વધાવી લીધો હતો અને શિવરાત્રિની પૂર્વસંધ્યાએ યજ્ઞ થયો હતો. આ યજ્ઞમાં વડીલોએ ફક્ત એક જ પ્રાર્થના કરી કે તેમને તેમના સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા, હવે એ સંતાનોને તેમના સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકવા ન આવે અને પરિવાર સાથે જ તેમનું જીવન પસાર થાય. માત્ર એટલું જ નહિ જે વડીલોને સંતાન નથી તેઓએ શિવજી પાસે માગ્યું કે હવે પછીની પેઢીને વૃદ્ધાશ્રમમાં આશરો ન લેવો પડે. બેસી શકતા ન હતા તેઓ પ્રાર્થના માટે 3 કલાક યજ્ઞમાં જોડાયાવૃદ્ધાશ્રમમાં એવા ઘણાં વડીલો છે કે જેઓ બેસી પણ શકતા નથી. આમ છતાં પોતાના સંતાનો માટે પ્રાર્થના કરવા માટે 3 કલાક સુધી યજ્ઞમાં જોડાયા હતા અને આહુતિ કરી હતી. સંચાલકોએ જણાવ્યું કે, આજની પેઢીએ પોતાના માતા-પિતાને સાચવવા માટે વચનબદ્ધ થવું જોઈએ. માતા-પિતાને સાચવવા તે વૈકલ્પિક બાબત નહિ પણ જવાબદારી છે, ફરજ છે અને ફરજિયાત પણ છે. ભાસ્કર વિચાર :શહેરના વૃદ્ધાશ્રમોમાં શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ થયો ખાસ યજ્ઞ, વડીલોએ કરી એક જ પ્રાર્થના હવે પછીની પેઢીઓની વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ઘટે
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી-ઝુંડાલ વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ થતાં ફોર-વ્હીલર ચાલકોએ ત્રણ કિલોમીટરનો લાંબો ફેરો ટાળવા ઝુંડાલ બ્રિજ નીચેના પાર્કિંગ કટમાંથી રોંગ સાઈડમાં અવરજવર શરૂ કરી દીધી છે, જેના કારણે બ્રિજ નીચે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે અને અકસ્માતનું જોખમ ખુલ્લું આમંત્રણ બની ગયું છે. ઔડા-મ્યુનિસિપલ કોર્પોરેશને નાના ગરનાળામાં માત્ર ટુ-વ્હીલર પસાર થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે અને થાંભલા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ ફોર-વ્હીલર ચાલકો માટે ઝુંડાલ સર્કલ સુધીનો ફરજિયાત ફેરો ટાળવા રોંગ સાઈડમાં પસાર થવાનું વલણ વધતાં પીક અવર્સમાં જામ અને અકસ્માતની શક્યતા વધી રહી છે, જેને લઈને સ્થાનિકો અહીં ટ્રાફિક પોલીસની સતત હાજરી રાખવાની માંગ કરી રહ્યા છે. ટ્રાફિકનું નિરાકરણ લાવવા ગરનાળામાંથી ટુ-વ્હીલર જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવીઅમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી-ઝુંડાલ વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરાયા બાદ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાએ નાના ગરનાળામાંથી માત્ર ટુ-વ્હીલર પસાર થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે. સ્થાનિકોની ઉગ્ર રજૂઆત અને સિગ્નેચર કેમ્પેઈન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. નાના ગરનાળામાં ટુ-વ્હીલરની અવરજવર માટે થાંભલા મૂકાયાહાલ ઔડા-મ્યુનિસિપલ કોર્પોરેશને હોટલ હિલ્લોક પાસેના નાના ગરનાળાની વચ્ચે થાંભલા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ટુ-વ્હીલર ચાલકો આરામથી ગરનાળામાંથી પસાર થઈ શકે છે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા નજીકની દુકાનોમાં જવા-આવવા માટે સુવિધા થઈ છે, પરંતુ ગરનાળાની સુરક્ષા અને મજબૂતી અંગે ઔડા દ્વારા કોઈ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગરનાળાની જર્જરિત હાલતથી તંત્ર અજાણ?હોટલ હિલ્લોક પાસેના નાના ગરનાળાની જર્જરિત હાલત અને આજુબાજુની દિવાલોમાં પડેલી તિરાડોને લઈને તંત્ર દ્વારા હજુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ગરનાળાને મજબૂત કરવા કે રિપેર કરવાની તાતી જરૂરિયાત છે, કારણ કે ચોમાસા દરમિયાન આ ગરનાળુ ધરાશાયી થવાની અથવા દુર્ઘટના થવાની ગંભીર શક્યતા છે. સર્કલથી ફરવું ન પડે એટલે ફોર વ્હીલરચાલકો કટમાંથી પસાર થાય છેબીજી તરફ ફોર-વ્હીલર ચાલકોને ન્યુ ત્રાગડ કે ચાંદખેડા તરફ જવા માટે ફરજિયાત ઝુંડાલ સર્કલ સુધી લાંબો ફેરો લેવો પડે છે. જોકે, ઝુંડાલ સર્કલથી ફરવું ન પડે તેના માટે ફોર વ્હીલર ચાલકો બ્રિજની નીચે એક કટ આવેલો છે ત્યાં નીચેથી પસાર થાય છે, જેના કારણે હવે બ્રિજની નીચે હવે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ફોર-વ્હીલર ચાલકો રોંગ સાઈડમાં આવતા હોવાથી અને બીજી તરફથી આવતા વાહનો સાથે ટકરાવની સ્થિતિ સર્જાતી હોવાથી જામની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની હાજરી નહિવત હોવાથી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. ટ્રાફિક પોલીસની હાજરી રાખવા સ્થાનિકોની માગસ્થાનિકોની માંગ છે કે, આ કટ પર ટ્રાફિક પોલીસની સતત હાજરી રાખવામાં આવે. જેથી રોંગ સાઈડમાં અવરજવર થતી અટકાવી શકાય અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. ટુ-વ્હીલર ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ હોવા છતાં ફોર-વ્હીલર ચાલકોને ઝુંડાલ સર્કલ સુધીનો ફરજિયાત ફેરો અને બ્રિજ નીચેના કટમાંથી અવરજવરને કારણે હાલાકી પડી રહી છે.
શહેરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને બજરંગવાડીના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રસંગમાં પહેરવાના બહાને યુવતીનો સોનાનો ચેઇન લઇ જઇ ગીરવે મૂકી દીધો હતો અને તે છોડાવવાના બહાને યુવતી પાસેથી વધારાના રૂ.53 હજાર પણ પડાવ્યા હતા. જોકે યુવતીને સોનાનો ચેઇન કે રોકડ કંઇ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી. કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બજરંગવાડીના રાહુલ બિજલ ધ્રાંગિયાનું નામ આપ્યું હતું. યુવતીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલનો પરિચય થયો હતો. ફોન પર વાતચીત અને મળવાનો દોર શરૂ થયો હતો. રાહુલે લગ્નની લાલચ આપી હતી અને તેના ઘરે પણ આ સંબંધની જાણ હતી. જુલાઇ 2025માં રાહુલે ફોન કરીને કહ્યું હતું કે, તેના ઘરે પ્રસંગ છે જેથી સોનાનો ચેઇન બે દિવસ માટે પહેરવા આપ, પ્રેમીની વાતમાં આવીને યુવતી બાલભવનના ગેટે ગઇ હતી અને ત્યાં રાહુલને 19.50 ગ્રામનો રૂ.1.58 લાખની કિંમતનો સોનાનો ચેઇન આપ્યો હતો. એક મહિનો વીતી જવા છતાં રાહુલે ચેઇન પરત નહીં આપતા યુવતી ફોન કરીને ઉઘરાણી કરતી ત્યારે અલગ અલગ બહાના આપતો હતો. ત્યારબાદ રાહુલે કહ્યું હતું કે, સોનાનો ચેઇન ફાઇનાન્સ પેઢીમાં ગીરવે મૂક્યો છે. યુવતીએ પેઢીમાંથી ચેઇન પરત અપાવવાનું કહ્યું, તો રાહુલ હાલમાં પૈસા નથી તેવા બહાના કાઢતો હતો અને ત્યારબાદ તેણે યુવતીને રૂ.53 હજાર છોડાવવાના થશે તેમ કહેતા યુવતીએ કટકે કટકે રૂ.53 હજાર ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ રાહુલે સોનાનો ચેઇન છોડાવ્યો નહોતો અને યુવતીના રૂ.53 હજાર પણ જમી ગયો હતો. અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાહુલ ધ્રાંગિયાની ધરપકડ કરી વિશેષ તપાસ શરૂ કરી હતી. પૂનમ, નેહલ, પૂજા સહિત અનેક યુવતીને જાળમાં ફસાવ્યાનો આક્ષેપરાહુલ ધ્રાંગિયા સામે ફરિયાદ કરનાર યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રાહુલે તેની સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. રાહુલને પોતાના ઉપરાંત પૂનમ, નેહલ અને પૂજા સહિત અનેક યુવતી સાથે સંબંધ છે. પોતાના વાકચાતુર્યથી યુવતીઓને ફસાવતો હતો અને સંબંધ કેળવ્યા બાદ યુવતીઓ પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ મેળવી પરત કરતો નહોતો, પોતાને પણ જાળમાં ફસાવ્યા બાદ પોતાના સંબંધ અંગે પિતાને કહી દેવાનું કહી બ્લેકમેઇલ કરતો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શિવભક્તોનું મહાપૂર ઉમટી પડ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ ધામે પહોંચી 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા છે. 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે મંદિરસોમનાથ મંદિર આજે સવારે 4:00 વાગ્યાથી આવતીકાલે 16 ફેબ્રુઆરી રાત્રે 10:00 વાગ્યા સુધી એમ 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે, જેથી દેશ-વિદેશથી આવતા ભક્તો નિરાંતે દર્શન-પૂજન કરી શકશે. મહાશિવરાત્રિ દરમિયાન ભગવાન સોમનાથની મહાઆરતી, રુદ્રાભિષેક અને વિવિધ વિશેષ પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને રાત્રિભર ભજન-કીર્તન સાથે ભક્તિનો માહોલ છવાયેલો રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા અને આરતી, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોમહાશિવરાત્રિ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી લઈને મોડી રાત સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાલખીયાત્રા, પાર્થિવેશ્વર પૂજા, લઘુ રુદ્ર યજ્ઞ, મહામત્યંજય યજ્ઞ, વિશેષ પૂજા અને ચાર પ્રહરની આરતી, જ્યોત પૂજન વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. મારુતિ બીચ, સોમનાથ સમુદ્ર પથ પર સવારે 8:00, 10:00 અને બપોરે 3:00 તેમજ 5:00 કલાકે પાર્થિવેશ્વર પૂજન યોજાશે. રાત્રે 10:15 કલાકે વિશેષ જ્યોત પૂજન પણ કરવામાં આવશે. સાંજે 6:00 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યના જાણીતા કલાકારો ઋષભ આહીર, જીગરદાન ગઢવી, યશ બારોટ, રાજુ જાદવ સહિતના કલાકારો પ્રસ્તુતિ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન સોમનાથના દર્શન કરશેરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ પધારશે. તેઓ સાંજે મંદિર પરિસરમાં યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ભક્તોને સંબોધિત કરશે. પ્રભાસ ક્ષેત્રમાં સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓ સહિત તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે. મહાશિવરાત્રીના આ પાવન પર્વે સોમનાથ ધામ ફરી એકવાર આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના મહાસાગરમાં તરબોળ બન્યું છે.
આજે મહાશિવરાત્રિ એટલે કે મેળાનો અંતિમ દિવસ. છેલ્લા પાંચ દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે. જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા. તુર્કિયે, ઈઝરાયલ, યુરોપ સહિતના દેશોમાંથી લોકો શિવરાત્રિના મેળાની મોજ માણવા જૂનાગઢ પહોંચ્યા છે. ત્યારે નેધરલેન્ડથી આવેલા એક કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી મેળા વિશેના અનુભવ જાણ્યા હતા. નેધરલેન્ડની યુવતીએ જૂનાગઢને પોતાની પિતૃભૂમિ ગણાવી હતી અને કહ્યું હતું કે વી લવ ઈન્ડિયા. મહાશિવરાત્રિના મેળામાં દેશભરના કિન્નર અખાડાઓમાંથી 50થી વધુ કિન્નર પણ 'મિની કુંભ'માં હાજરી આપવા પહોંચ્યા છે. કિન્નર અખાડાના ગિરનારી માતાજીએ કહ્યું હતું કે, કિન્નરોથી મોટું કોઈ સંન્યાસી નથી. ભવનાથના મેળાનું વિદેશીઓને ઘેલું લાગ્યુંજૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. જેની મોજ માણવા વિદેશીઓ પણ પહોંચ્યા છે. યુરોપથી આવેલું કપલ અને ઈઝરાયલ-તૂર્કિયેથી આવેલી યુવતીઓ મહાશિવરાત્રિ મેળાના રંગે રંગાયેલા જોવા મળ્યા. યુરોપિયન કપલે કહ્યું- 'અહીં અમને ઘર જેવી અનુભૂતિ થાય છે'ભવનાથમાં મેળાની મોજ માણી રહેલા નેધરલેન્ડના કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. ફ્લોરેન્સ નામની યુવતીએ કહ્યું કે, નેધરલેન્ડ મારી માતૃભૂમિ છે અને આ(જૂનાગઢ) મારી પિતૃભૂમિ છે. અહીં આવીને અમને અમારા ઘર જેવી જ અનુભૂતિ થાય છે.અહીંના જ્યારે અમે ફોટો અમારા પરિવારજનોને મોકલ્યા તો આવતા વર્ષે તેઓએ પણ અહીં આવવાની ઈચ્છા વ્યકત કરી. જ્યારે પીટરે કહ્યું હતું કે, અમે યુરોપથી અહીં પ્રથમવાર આવ્યા છીએ. અહીં તમામ લોકો પાણી, ફ્રુટ અને ભોજનની ઓફર કરી રહ્યા છે. વી લવ ઈન્ડિયા. કિન્નરથી મોટો આ ધરતી પર સંન્યાસી કોઈ નથી- ગિરનારી માતાજીશ્રી પંચદશનામ જુના કિન્નર અખાડાના કિન્નર અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનારી માતાજીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે,કિન્નર અખાડાની સ્થાપના 2016માં થઈ. જેમાં જુના અખાડા સાથે કિન્નર અખાડાનું ગઠન કરવામાં આવ્યું અને બાદમાં મહાકુંભ હોય કે શિવરાત્રી હોય જ્યાં કિન્નર અખાડો આવે છે. જુનાગઢ ભવનાથ તળેટીમાં હાલ 60થી વધુ કિન્નરો આવ્યા છે.જેને ધુણા ધખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. કિન્નરો અહીં અન્નક્ષેત્ર પણ ચલાવી રહ્યા છે અને ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે. કિન્નર એ શિવ અને શક્તિનું રૂપ છે. કિન્નર નર પણ છે અને નારાયણી પણ છે. પુરાણોમાં પણ અમારો ઇતિહાસ છે અને ભગવાન શિવ વરદાન આપ્યું હતું કે,કિન્નરો જેને આશીર્વાદ આપશે તેનું જીવન સફળ થશે. હાલ અમારો કિન્નર સમાજ જ્યાં પણ જાય છે ત્યાં લોકોને આશીર્વાદ આપે છે. કિન્નરો ભિક્ષાવૃત્તિ પણ કરે છે અને કિન્નરો અન્નક્ષેત્રો પણ ચલાવે છે અને ભિક્ષાવૃત્તિ પણ કરીએ છીએ અમે ભિક્ષાવૃત્તિ કરી અને અહીં અન્ન ક્ષેત્રો ચલાવીએ છીએ. આજના સમયમાં કિન્નરો બધુ કરી શકે છે. સ્ત્રી સાધુ બની શકે છે જેમ પુરુષ સાધુ બની શકે છે. પરંતુ એક અવસ્થા અને ઉમર પછી સ્ત્રી પુરુષ સાધુ બની શકે છે. પરંતુ કિન્નર તો જન્મજાત જ કિન્નર રૂપે જ જનમ લે છે. કિન્નર જ્યારે જન્મ બાદ પોતાના માતા-પિતાનો ત્યાગ કરે છે ત્યારથી જ તે સન્યાસી બની જાય છે. કિન્નરથી મોટો આ ધરતી પર સન્યાસી કોઈ નથી. ભવનાથ મેળાના આ સમાચાર પણ વાંચોઃકોણીના ભાગેથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવતા સાધુ ગિરનારની ગિરિ કંદરાઓમાં જ્યારે 'હર હર મહાદેવ'ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઊતરે છે ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રિ મેળાને 'મિની કુંભ' જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઊમટ્યો છે. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગાસાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી ધખાવી, ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે એટલી જ શ્રદ્ધાથી ભરેલી છે. આ ભીડ વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણ એવા સાધુ સાથે મુલાકાત કરી હતી, જે આખા મેળામાં સૌથી યુનિક હોય. (સંપૂર્ણ સમાચાર વાંચો) કેવી હોય છે નાગાસાધુઓ અને અઘોરીઓની રહસ્યમયી દુનિયા? નાગાસાધુઓ અને અઘોરીઓની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા માટે દિવ્ય ભાસ્કર મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યું હતું. જ્યાં પહોંચતાંની સાથે જ ધૂણી ધખાવી અલખની આરાધના કરતા નાગાસાધુઓને જોઈ લાગે કે આ અઘોરીઓ અને નાગાસાધુઓની એક અલગ દુનિયા છે. શરીરે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી જટા અને ચમકતી આંખોમાં જાણે કે શિવની ભક્તિ સમાયેલી હોય એવી અનુભૂતિ થાય છે. નાગાસાધુઓની વાત કરવામાં આવે તો તેઓ વાસ્તવમાં સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ સૈનિકો માનવામાં આવે છે. તેમનું જીવન ગુરુની સેવા અને કઠિન સાધનાથી શરૂ થાય છે. નાગાસાધુ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે સંસારનો મોહ ત્યાગી અખાડામાં જોડાય છે ત્યારે ગુરુ સૌપ્રથમ તેની કસોટી કરે છે. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કર્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ગુજરાતની હોટલમાં ચેક ઇન માટે હવેથી આધાર કાર્ડની કોપી નહીં આપવી પડે. અત્યાર સુધી એવું થતું હતું કે જ્યારે તમે કોઇ હોટલમાં રોકાવા જાઓ ત્યારે પુરાવા તરીકે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી પડતી હતી પણ હવે ડિજિટલ પેમેન્ટની જેમ જ ડિજિટલ ચેક ઇન થશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે કેવી રીતે ડિજિટલ ચેક ઇન થશે? આ સિસ્ટમથી સરકારથી માંડીને સામાન્ય લોકોને શું અસર થશે? કેવા ફેરફાર થશે? દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ દિલીપ ઠાકોર પાસેથી તમામ માહિતી મેળવી હતી. આપણે કોઇપણ જગ્યાએ જઇએ અને ID આપવાનું આવે ત્યારે તરત જ આધાર કાર્ડ ધરી દેતાં હોઇએ છીએ. જેનો ક્યારેક દુરુપયોગ પણ થતો હોય છે. સરકાર ધીમે ધીમે આ વ્યવસ્થા બદલાય તે દિશામાં આગળ વધી રહી છે. આધાર કાર્ડ બનાવનાર અને તેનું કામ સંભાળનારી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ 28 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં નવી આધાર એપ લોન્ચ કરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આમંત્રણ આપ્યું હતું. આખા દેશમાં ફક્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મંજૂરીઆ ઇવેન્ટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પથિક સોફ્ટવેર સાથે આધાર કનેક્ટ કરવાની મંજૂરી અપાઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આખા દેશમાં પહેલી એવી સરકારી સંસ્થા છે જેને આ મંજૂરી મળી હતી. હવે ડિજિટલ ચેક ઇનપથિક એપ્લિકેશન 2017થી કાર્યરત છે. હોટલમાં રોકાનારા કોઇપણ વ્યક્તિનો ડેટા 2017થી પથિક સોફટવેરમાં સ્કેન કરીને અપલોડ કરવામાં આવતો હતો. એ હવે ડિજિટલ થઇ જશે. જેમાં યુઝરની પ્રાઇવસી પણ જળવાશે. ગેસ્ટના IDનો ક્યાંય દુરૂપયોગ નહીં થાય. ઉદાહરણ તરીકે શોપ પર UPI માટે QR કોડ મૂક્યા હોય છે. યુઝર ખરીદી કરીને QR કોડ સ્કેન કરે છે અને રૂપિયા ચૂકવે છે. જેથી વેપારીને રૂપિયા મળી જાય છે અને ખરીદનારે બેન્ક ડિટેલ આપવાની રહેતી નથી. પથિકમાં એ જ રીતે થશે. ગેસ્ટ હોટલમાં જાય, હોટલ તેને રૂમ એલોટ કરશે એટલે તરત QR કોડ જનરેટ થશે. ગેસ્ટ પોતાના મોબાઇલમાં રહેલી એપ દ્વારા એ QR કોડ સ્કેન કરશે એટલે એપમાં ગેસ્ટનો ફેસ સ્કેન થશે. ગેસ્ટની માહિતી ડિજિટલી પથિકમાં જશે. જેથી હોટલને વેરિફાઇડ યુઝરની ડિટેલ શેર થશે. આવું થવાથી હોટલ સ્ટાફનું ટેન્શન જતું રહેશે કે જે ગેસ્ટ છે તે સાચો છે કે ખોટો છે? શું તે બોગસ ડોક્યુમેન્ટ લઇને તો નથી આવ્યો ને? બોગસ ડોક્યુમેન્ટથી રૂમ બૂક નહીં થઇ શકેપીએસઆઇ દિલીપ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આધાર સાથે લિન્ક કરવાનો આઇડિયા UIDAIનો હતો. એમના તરફથી આ માટે અમને એપ્રોચ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે અમે આધારની એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ જેમાં કન્સર્ન બેઝ્ડ યુઝરનું વેરિફિકેશન થાય છે. તમારા પથિક સોફ્ટવેરમાં તેને એડ કરો તો હોટલમાં આવતા ગેસ્ટને ડિજિટલી વેરિફાય કરી શકાશે. આવું કરવાથી બોગસ ડોક્યુમેન્ટ આપીને રૂમ બૂક કરવા જેવી સમસ્યાઓ દૂર થઇ શકશે. હોટલને આના ઘણા ફાયદા મળશે. પહેલાં હોટલમાં ગેસ્ટના ડોક્યુમેન્ટસ લેવાતા હતા. જે સાચવવા પડતા, ક્યારેક મિસપ્લેસ થાય, તેનો દુરૂપયોગ પણ થાય, મ્યૂલ એકાઉન્ટ પણ બનતા. હવે એ પ્રકારના ગુના રોકાશે. આધારના છેલ્લા 4 આંકડા પણ નહીં દેખાય'હોટલને ગેસ્ટનું નામ, ફોટો, સરનામું દેખાશે પણ ગેસ્ટનો આધાર નંબર નહીં મળે. એ સિવાયની વધારાની કોઇ માહિતી પણ નહીં મળે. અત્યાર સુધી આધારના છેલ્લા ચાર આંકડા દેખાતા હતા પણ હવે આ સિસ્ટમમાં આધારનો એકપણ આંકડો નહીં દેખાય. ગેસ્ટ જે નામ અને સરનામું આપે તેને આધાર વેરિફાઇ કરી આપશે. પથિક તેનું માધ્યમ બનશે.' દેશમાં 2023માં પ્રાઇવસી લો આવી ગયો છે. જેમાં એવી જોગવાઇ છે કે કોઇનું ફિઝિકલ ડોક્યુમેન્ટ નહીં લઇ શકાય, યુઝરની પ્રાઇવસી મેન્ટેઇન કરવી પડશે. જો કે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ લેતા હતા. જો કોઇ ડોક્યુમેન્ટસ ન લે તો બહારના ગુનેગાર આવી રોકાઇને ક્રાઇમ કરીને જતાં રહે તો તેને કેવી રીતે ઓળખવા, કેવી રીતે ટ્રેક કરવા કે કેવી રીતે પકડવા? તેવી સમસ્યાઓ હતી. ડિજિટલ વેરિફિકેશન યુઝરની મંજૂરીથી થશેદિલીપ ઠાકોરે જણાવ્યું કે, કાયદાની અમલવારી પણ કરવાની હતી. જેથી આ સમસ્યાનું નિવારણ લાવવા ડિજિટલ વેરિફિકેશન થાય જેમાં યુઝરને પોતાના ડોક્યુમેન્ટ શેર કરવાની જરૂર પડતી નથી. યુઝરનું ડિજિટલ વેરિફિકેશન તેની મંજૂરીથી થાય છે. આ વ્યવસ્થા આધારે તેની એપ પર આપી છે. અમે અમારા પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટ કરીએ તો પ્રાઇવસી લો તમામ માપદંડોમાં પૂરા થાય તેમ છે. આ સિસ્ટમથી હોટલ ચેક ઇન ડિજિટલ, ઓછા સમયમાં અને ભૂલ વગર થશે. અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ યોજાવાની છે. ક્રિકેટ મેચ રમાય છે ત્યારે શહેરમાં એક લાખ લોકો આવે છે અને અલગ અલગ જગ્યાએ રોકાય છે. જો તેમાં ક્રિમીનલ્સ આવતા હોય તો પણ હવે ખોટા IDથી રોકાઇ નહીં શકે. આધાર જ ગેસ્ટની ઓળખ કરીને આપશેદિલીપ ઠાકોરે ઉમેર્યું કે, માની લો કે અમદાવાદમાં 2 હજાર હોટલ, 3 હજાર પીજી ઉપરાંત કેટલાય હોમ સ્ટે રજિસ્ટર થયેલા છે. આવી સંખ્યાબંધ જગ્યાઓ છે જ્યાં બહારના વ્યક્તિ આવીને રોકાય છે. ગુનેગાર ખોટી ઓળખ આપી ક્રાઇમ કરીને નીકળી જાય છે. તેનો કોઇ ટ્રેક રેકોર્ડ રહેતો નથી. જેથી ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. ટેકનોલોજીમાં પણ કેટલાક ગેપ છે. જેમ કે કોઇનો ફોટો એડિટ કરી નાખે છે. એ ચેક કરવાની કોઇ વ્યવસ્થા નથી. આ નવી વ્યવસ્થામાં વ્યક્તિની ઓળખ આધાર કરીને આપે છે. જેનાથી મેન પાવર વાપર્યા વગર ટેકનોલોજી દ્વારા ક્રાઇમ થયા વગર રોકી શકો છો. આધારે પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આપેલી આ સિસ્ટમનો દરેક જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. ક્રાઇમ બ્રાન્ચે પથિકમાં આ વ્યવસ્થા ઊભી કરી છે. હવે તેના અધિકારી નક્કી કરશે એ મુજબ દરેક જગ્યાએ આ સિસ્ટમ ઊભી થઇ શકે એમ છે. જેમકે પીજી, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે, ધર્મશાળા જેવી ટેમ્પરરી સ્ટે માટેની કોઇપણ જગ્યાને આમાં આવરી લઇ શકાય તેમ છે. દિલીપ ઠાકોર જણાવે છે કે, ભવિષ્યમાં 'વાહન' સાથે ઇન્ટિગ્રેટ કરીને લાયસન્સ, આધારની જેમ ડીજી લોકરમાં API શેરિંગ થાય છે એ આપે તો એ રીતે પણ વેરિફાઇ થશે. આ શરૂઆત છે જેમ જેમ અમને API મળશે એમ ઇન્ટિગ્રેટ કરતાં જઇશું. મુખ્ય હેતુ એ છે કે ક્રિમિનલ કે અન્ય લોકો બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ ન કરે, આતંકીઓ ઉપયોગ ન કરે તે છે. ક્રાઇમ બ્રાન્ચ સરકારી એજન્સી છે. તેની સાથે ડિટેલ શેર કરવામાં કોઇ વાંધો ન હોય તો એ વેરિફિકેશન ડિજિટલ રીતે થશે. UIDAIને નવી લોન્ચ કરેલી આધાર એપ માટે યુઝડ કેસની શોધ હતી. જેને આધાર સાથે જોડીને પબ્લિકની પ્રાઇવસી ધ્યાને રાખીને વાપરી શકાય. એ માટે તેમણે પથિકની પસંદગી કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગૂગલ, સેમસંગ જેવી જાયન્ટ કંપનીઓને પાછળ છોડીપીએસઆઇ ઠાકોર કહે છે કે, 28 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં UIDAI ડે સેલિબ્રેશનનો પ્રોગ્રામ હતો. જેમાં તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બોલાવી હતી. કાર્યક્રમમાં આધાર એપ લોન્ચ કરાઇ હતી. ગુજરાતની હોટલમાં ગેસ્ટના રજિસ્ટ્રેશન માટે પથિક એપ્લિકેશન ચાલે છે. જેને આધાર એપ સાથે જોડવાનું કામ ક્રાઇમ બ્રાન્ચે કર્યું હતું. કાર્યક્રમમાં ક્રાઇમ બ્રાન્ચ સિવાય ગૂગલ, સેમસંગ, ડીજી લૉકર જેવી અલગ અલગ સર્વિસ આપતી 12 જેટલી ફર્મ હતી. વિદેશી નાગરિકોના કિસ્સામાં શું? તે અંગે તેમણે કહ્યું કે, વિદેશી નાગરિકોના પાસપોર્ટ અને વિઝા પોર્ટલ પર સ્કેન થાય છે. ભારત સરકારના પોર્ટલ પર C ફોર્મ પણ ભરાય છે. જેનું વેરિફિકેશન સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરે છે. આપણી પાસે એનો ડેટા રહે છે કે વિદેશથી કઇ વ્યક્તિઓ આવી છે અને ક્યાં રોકાઇ છે. 2017માં પથિક સોફ્ટવેર અમદાવાદ પૂરતો ચાલુ કર્યો હતો. જે સફળ થતાં તત્કાલીન DGPએ 2019માં આખા ગુજરાતમાં આ વ્યવસ્થા લાગુ કરાવી હતી. ગુજરાતમાં દરરોજ 1.5 લાખ લોકો હોટલમાં ચેક ઇન કરે છેતેમણે કહ્યું, અત્યારે અમારા પ્લેટફોર્મ પર 9500 હોટલ ઓન બોર્ડ છે. લગભગ 1.5 લાખ લોકો રોજ હોટલમાં ચેક ઇન કરે છે. 2017માં પથિક આવ્યા બાદ પોલીસને તેના લાભ મળી રહ્યાં છે. હવે આધાર સાથે ઇન્ટિગેશન થશે. જેમાં કોઇની પ્રાઇવસીનું ઉલ્લંઘન નહીં થાય. નવી સિસ્ટમ થોડા સમયમાં શરૂ થઇ જશે. બધા જ પ્રાઇવસી કમ્પ્લાયન્સ પૂરા કર્યા પછી POC (પ્રૂફ ઓફ કોન્સેન્ટ) મળે છે. જેમાં યુઝરની પ્રાઇવસી કઇ રીતે મેન્ટેન કરાય છે વગેરે જેવા મુદ્દાઓ હોય છે. એ પછી જ આવી સર્વિસનો ઉપયોગ કરવા મળે છે. આ બધા કમ્પ્લાયન્સ ક્રાઇમ બ્રાન્ચે પૂરા કર્યા છે. કોઈ વ્યક્તિ સ્માર્ટ ફોન નથી વાપરતો તો તેના માટે શું? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ સિસ્ટમ ટેક્નોલોજી ડ્રીવન લોકો માટે જ છે. જે લોકો ટેક્નોલોજી વાપરતા જ નથી તો આપણે શું કરી શકીએ?
રાજકોટમાં 13 વર્ષથી કાકા-કાકી પાસે રહેતી અને છેલ્લા ચાર મહિનાથી કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉચ્ચ શિક્ષણ માટે મૂકવામાં આવેલી અને ગત 16 જાન્યુઆરીએ પુખ્ત વયની થયેલી યુવતીને તેની જન્મ આપનાર માતા, સુરતના પાલ પોલીસ મથકના એક પોલીસમેન સહિતના કેટલાક વ્યક્તિઓ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી ખોટી રીતે કબજો મેળવીને કોર્ટ હુકમ કરે તે પહેલાં સુરતના પોલીસ કમિશનર પાસે રજૂ કરી દેવાઈ હતી. આમ કોર્ટે કરેલા હુકમનો અનાદર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગેની દિવ્ય ભાસ્કરને માહિતી મળતા છેલ્લા 13 વર્ષથી ભત્રીજીનું પાલન પોષણ કરતા અશ્વિનભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગત 26મી જાન્યુઆરીએ અમદાવાદના પાલ પોલીસ મથકના ફિરોઝબેન આરબ અને રાજકોટના થોરાળા પોલીસ મથકના કર્મચારીઓ મારા ઘરે આવ્યા હતા અને એક કોર્ટનો ઓર્ડર બતાવ્યો હતો. તેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, અશ્વિનભાઈ સાથે તેમની ભત્રીજી કે જે 16 જાન્યુઆરીના રોજ પુખ્ત વયની થઈ ગઈ છે તેને લઈને સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં તા. 27-01-2026ના રોજ 10:45 કલાકે હાજર રહેવું. સુરતની કોર્ટે અશ્વિનભાઈ ઉપરાંત તેમના પત્ની જીજ્ઞાશાબેન અને અશ્વિનભાઈના બહેન અલ્પાને પણ હાજર રહેવા હુકમ કર્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓએ જ યુવતીને કોર્ટમાં હાજર રાખવા ફરમાન કર્યુ હતું. જોકે 26મી જાન્યુઆરીએ રજા હતી છતાં સુરતના પોલીસમેન ફિરોઝબેન ઉપરાંત યુવતીને જન્મ આપનાર માતા અને યુવતીના માતાએ જ્યાં બીજા લગ્ન કર્યા હતા તે તેમના પતિ પણ રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે હાજર હતા. કોર્ટનો ઓર્ડર બતાવતા બાલાશ્રમના સંચાલકોએ યુવતીનો કબજો તેની જન્મ આપનાર માતા અને સુરત પોલીસને સોંપી દીધો હતો. કાઠિયાવાડ બાલાશ્રમ અને સુરત પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત કરતા અશ્વિનભાઈએ કહ્યું હતું કે, અમારે 27 જાન્યુઆરીએ મારી ભત્રીજીને કોર્ટમાં રજૂ કરવાની હતી, પરંતુ સુરતથી આવેલા પોલીસમેન અને કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોએ અમારી એક પણ વાત સાંભળી ન હતી અને 26મી જાન્યુઆરીએ જ યુવતીનો એટલે કે મારી ભત્રીજીનો કબજો સોંપી દીધો હતો. ત્યારબાદ અમને એક ફોટો મળ્યો હતો તેમાં યુવતી સુરતના પોલીસ કમિશનર, તેને જન્મ આપનાર તેની માતા(એટલે કે મારા ભાભી) અને ભત્રીજીના સાવકા પિતા હતા.આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, મારી ભત્રીજીને કોર્ટના બદલે સુરતના પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી દેવાઈ હતી. 27મી જાન્યુઆરીએ પોતે કોર્ટમાં હાજર રહ્યા હતા જોકે સુરતની તે કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી 21 ફેબ્રુઆરીની નવી તારીખ આપવામાં આવી હતી. અશ્વિનભાઈ અંતમાં કહ્યું હતું કે કોર્ટે મને મારી ભત્રીજીને સાથે રાખીને હાજર રહેવાનું કહ્યું હતું. હાલ મારી ભત્રીજી ક્યા છે તેની મને ખબર નથી અને કોર્ટમાં તેને રજૂ કરવાના બદલે પોલીસ કમિશનર પાસે રજૂ કરાઈ છે ત્યારે આ અંગે રાજકોટ અને સુરત પોલીસ યોગ્ય તપાસ કરી કાનૂની રાહે ન્યાય આપે. અને એમ પણ જણાવ્યું હતું કે, મારી ભત્રીજીને 27મી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રખાઇ હતી. પરંતુ કોઇપણ પ્રકારનો હુકમ કરાયો ન હતો કે મારી ભત્રીજીનો કબજો કોને સોંપવો આમ છતાં તેને સુરતના પોલીસ કમિશનર પાસે લઇ જવાઇ હતી અને ત્યાં તેમની સાથે ફોટો સેશન પણ કરાવાયું હતું. સુરતની કોર્ટમાં અશ્વિનભાઈ અરજી પણ કરશેઅશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, સુરતની કોર્ટમાં 21 ફેબ્રુઆરીની મુદત પડી છે ત્યારે ત્યાં એક અરજી કરવામાં આવશે આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેના મોટાભાઈ મયૂર મનહરભાઈ પરમારના 13 ફેબ્રુઆરી 2005ના રોજ ભાવિશાબેન સાથે લગ્ન થયા હતા. તેમને ત્યાં બે દીકરીનો જન્મ થયો હતો. મયૂરભાઈનું 2013માં અવસાન થયા બાદ 27-06-2013ના રોજ ભાવિશાબેને ધર્મેશ પિત્રોડા સાથે બીજા લગ્ન કર્યા હતા. નાની પુત્રીને તેઓ સાથે લેતા ગયા હતા અને તે સમયે 13 વર્ષની મોટી પુત્રીને મૂકતા ગયા હતા. આજ દિન સુધીનું તેનું લાલન પાલન અને ભરણપોષણ પોતે કર્યું હતું. છેલ્લા ચાર મહિનાથી સરકારી યોજનાકીય સહાય માટે યુવતીને કાઠિયાવાડ બાલાશ્રમમાં મૂકી હતી. જોકે ત્યાંથી તેને ખોટી રીતે લઈ જવાઈ છે. ત્યારે હવે પછીની ફેબ્રુઆરી માસની જે તારીખ આપવામાં આવી છે ત્યારે ઉપરોક્ત બાબતે ન્યાય આપવા પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે. અમે યોગ્ય રીતે જ કબજો સોંપ્યો છેરાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલક સી.એચ. પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે યુવતીનો કબજો તેની જન્મ આપનાર માતાને સોંપ્યો છે અને અમે કોઇ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી નથી. નિયમ મુજબ મેલ હોય કે ફીમેલ 18 વર્ષની ઉંમર થાય ત્યારબાદ સીડબ્લ્યુસીને જાણ કર્યા બાદ અમારે તેનો કબજો રાખી શકાતો નથી. આ કેસમાં સુરત પોલીસ પણ સાથે હતી અને તેમની પાસે કોર્ટનો ઓર્ડર પણ હતો. આથી અમે યુવતીનો કબજો કાનૂની રીતે જ સોંપ્યો છે.
હુમલો:શેલાથી મર્સિડીઝમાં બેસી નરોડા ઓફિસ જતા બિલ્ડર પર હુમલો
ઘરેથી મર્સિડીઝ લઈને નીકળેલા બિલ્ડરને રોકી કેટલાક લોકોએએ લોખંડની પાઈપ સહિતના હથિયારથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકો ફરાર થઈ ગયા હતા. બિલ્ડરે જમીન, કોર્ટ કેસનું કામ ચાલતું હોવાથી તેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની શંકાના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શેલાના નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. તા.13મીએ સવારે મર્સિડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડાની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વિફ્ટ ગાડીના ચાલકે ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખ્સોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી આ લોકો ભાગી ગયા હતા. હેમાંગભાઈને જમીન તથા કોર્ટમાં કેસોનું કામ ચાલતું હોવાની અદાવતમાં હુમલો કરાયો હોવાની શંકા જતા તેમણે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુરના પંચમ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ ગેહલોત અને પત્ની સરોજબહેન 13મીએ ચાલવા નીકળ્યા હતા. રાતે 9.30 વાગ્યે માનસી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પકવાન ચાર રસ્તા બાજુથી બાઈક પર 2 સ્નેચર આવ્યા હતા. સ્નેચરે સરોજબહેનનો દોરો તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે દોરો પકડી પડી ગયાં હતાં. સાથે સ્નેચર પણ પડી ગયો હતો. પડી ગયેલા સ્નેચરને દિનેશભાઈ તેમજ અન્યોએ પકડી લીધો હતો. જાણ કરાતાં આવેલી વસ્ત્રાપુર પોલીસે વિજય લુહારની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી ગયેલો હાર્દિક ચૌહાણ પણ પકડાઈ ગયો હતો.
વિલંબ બાદ સંગઠન માળખું જાહેર થયું:અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં 7 નગરસેવકો, ટિકિટ કપાઇ શકે છે
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે લાંબા વિલંબ બાદ પોતાનું સંગઠન માળખું જાહેર કર્યું છે. આ નવા સંગઠનમાં 7 વર્તમાન નગરસેવકોનો સમાવેશ કરાયો છે. આ કારણથી હવે આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ હોદ્દેદારોની ટિકિટ કપાઇ જશે તેવી આશંકા રહેલી છે. આ હોદ્દેદારોમાં મહામંત્રી તરીકે જશુ ઠાકોર, ઉપપ્રમુખ તરીકે ભાસ્કર ભટ્ટ, પ્રવીણ પટેલ, હીરાભાઇ પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પાલિકાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે રમેશ રાણા તથા અનસૂયા પટેલને મંત્રી બનાવાયાં છે. આ નિમણૂકો થયાં બાદ ભાજપના ઘણાં બધાં સાઇડલાઇન કરાયેલા સિનિયર નેતાઓના વિસ્તારના લોકોને પ્રતિનિધિત્વ નહી મળ્યાનો અસંતોષ ફાટી નિકળ્યો છે, જ્યારે હાલ સંગઠનમાં સક્રીય નેતાઓના વિશ્વાસુ લોકોને સમાવી લેવાયા હોવાની વાત પણ નારાજગી ઊભી કરનારી સાબિત થાય તેમ છે. મહામંત્રી પદ પર ભાજપે બ્રાહ્મણ, લેઉવા પટેલ અને ઓબીસી સમાજનું સમીકરણ તૈયાર કર્યું છે. તે પૈકી દર્શક ઠાકરને અગાઉ સંગઠનમાં પદ હોવા છતાં તેમને માત્ર શહેર પ્રમુખ પ્રેરક શાહના હઠાગ્રહને કારણે મહામંત્રી બનાવી દેવાયા હોવાની વાતે ઘણાં લોકો નિરાશ છે. અમિત શાહ- ભૂપેન્દ્ર પટેલના વિસ્તારની બાદબાકીજાહેર કરાયેલા સંગઠનના આ નામોમાં વોર્ડ દીઠ સંતુલન જળવાયું હોવાનો દાવો કરાયો છે, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જ્યાંના મતદાર છે તે નારણપુરા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના થલતેજ વોર્ડના એકપણ ચહેરાને નવા સંગઠનમાં સમાવાયા નથી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની દૃષ્ટિએ જોઇએ તો પશ્ચિમ કરતાં પૂર્વ વિસ્તારના વોર્ડના હોદ્દેદારોને વધુ તક મળી હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વિરોધપક્ષના નેતાએ વ્યંગ કર્યો:મ્યુનિ.નું બજેટ 1.30 લાખ કરોડનું પણ ચોખ્ખું પાણી અપ્રાપ્ય: કોંગ્રેસ
અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનું ચાલુ વર્ષે સુધારા સાથે 18518 કરોડનું બજેટ મંજુરી માટે મુક્યુ છે, ત્યારે તેમાં 922 કરોડના સુધારા સુચવતા વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વ્યંગ કર્યો હતો કે, છેલ્લા 20 વર્ષમાં મ્યુનિ.એ પોતાના બજેટનું કદ વધારીને 1.30 લાખ કરોડ કર્યું છે, પરંતુ હજુ પણ નાગરિકો શુદ્ધ પાણી માટે પણ તરસે છે. 24 કલાક પાણી આપવાની જાહેરાત પછી પણ અનેક વિસ્તારોમાં 1 કલાક પણ પાણી આપી શકતા નથી. શહેરના પોશ વિસ્તારમાં પણ પાણી ભરાઇ રહે છે. ભાજપના રાજમાં છેલ્લા 5 વર્ષમાં ભરતી કૌંભાંડ, હાટકેશ્વર બ્રિજ કૌભાંડ, ખારીકટ કેનાલમાં કૌભાંડ, રસ્તાઓ તૂટી જવા, ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ સહિત અનેક ગેરરીતિઓ સામે આવી છે, ત્યારે આ અંદાજપત્રમાં તેમણે કેટલાંક પ્રજાલક્ષી કામગીરી કરવા માટે સુધારા રજુ કર્યા છે. તેમણે તમામ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઇન, રિવરફ્રન્ટ પર હાઇટેક શાળા અને લાયબ્રેરી, ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસના કોરીડોર દુર કરવા સહિતની માગ કરી છે. ભ્રષ્ટાચારની તપાસ માટે લોકપાલની નિમણૂક, સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો કડક અમલ અને વોટર પોલ્યુશન માટે અલગ બજેટ ફાળવણીની માગ કરી હતી.
બોર્ડની પરીક્ષા:પ્રથમ વાર હોલ ટિકિટ ને પરિણામમાં વિદ્યાર્થીનાં નામ એક જ ફોર્મેટમાં રહેશે
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પહેલાં ટૂંક સમયમાં હોલ ટિકિટ આપવાની શરૂઆત થશે. પ્રથમ વાર દરેક વિદ્યાર્થીઓનાં નામ એક જ ફોર્મેટમાં જોવા મળશે. જેમાં પહેલાં વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓના જન્મના દાખલા અથવા વાલીએ લખાવેલા નામને આધારે જ હોલ ટિકિટ અને પરિણામમાં નામ આપતા હતા. જોકે દરેક વિદ્યાર્થીનું નામ એક જ ફોર્મેટ જળવાઇ રહે તે માટે આ નવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પદ્ધતિના અમલને કારણે રાજ્યનો વિદ્યાર્થી કોઇપણ રાજ્યમાં હવે પોતાના નામ વિશેની અસંમજસતા રહેશે નહીં, સાથે જ નેશનલ કક્ષાનું પણ ફોર્મેટ ફોલો કરાશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી મોટાભાગના કિસ્સામાં અટક પહેલા લખવામાં આવતી. જેથી બહારના રાજ્યોમાં નામને પહેલી પ્રાથમિકતા અપાય છે. હવે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ માટે અપાર આઇડી પરથી નોંધણી કરાય છે. જેથી હવે વિદ્યાર્થીઓ માટે પણ નામ એક ફોર્મેટમાં જ રાખવામાં આવ્યા છે. જેથી હવે દેશના વિદ્યાર્થીઓની સાથે એક ફોર્મેટમાં જોવા મળશે. આવતા સપ્તાહે હોલ ટિકીટ આપવાનું શરૂ થશેબોર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આવતા અઠવાડિયાની મઘ્યમાં બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાશે. ત્યારબાદ સ્કૂલો પોતાની કાગળની કામગીરી પૂરી કરી વિદ્યાર્થીઓને આપશે. જેથી વિદ્યાર્થીઓ સમય મુજબ બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર અને નામની બાબતો જોઇ શકશે. હોલ ટિકિટમાં નામમાં ફેરફાર હશે તો વિદ્યાર્થી સ્કૂલના માધ્યમથી તેમાં તાત્કાલિક ફેરફાર કરાવી શકશે.
ભરતી:નૌસેનામાં 260 શોર્ટ સર્વિસ કમિશન ઑફિસરની ભરતી
નૌસેના જાન્યુઆરી 2027 (ST 27) કોર્સ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઑફિસર ભરતી કરશે. 260 જગ્યા પર એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન અને ટૅક્નિકલ શાખામાં નિયુક્તિ કરાશે. અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ મહત્ત્વની તક છે. 24મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈ “Current Opportunities” વિભાગમાં SSC Officer Jan 2027 એન્ટ્રી પસંદ કરવી પડશે. નવા ઉમેદવારોએ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે જ્યારે અગાઉથી નોંધાયેલા ઉમેદવારો સીધા લોગઇન કરીને પછીની પ્રક્રિયા કરી શકશે. ઉમેદવારોએ 10-12ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. પેટર્ન મુજબ લેખિત પરીક્ષા લેવાતી નથીઉમેદવારોનું શૈક્ષણિક ગુણ આધારે શોર્ટલિસ્ટિંગ કરવામાં આવે છે. પસંદ થયેલા ઉમેદવારોને 5 દિવસીય SSB પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે, જેમાં સ્ક્રીનિંગ ટેસ્ટ, સાઇકોલોજિકલ ટેસ્ટ, GTO ટાસ્ક અને પર્સનલ ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. અંતિમ પસંદગી પહેલાં મેડિકલ પરીક્ષણ ફરજિયાત રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને Indian Naval Academy, એઝીમાલા ખાતે તાલીમ આપવામાં આવશે.
મહા શિવરાત્રી નિમિત્તે રવિવારે શહેરનાં 200થી 1000 વર્ષ જૂનાં ઐતિહાસિક મંદિરોથી માંડીને સુવર્ણજડિત આધુનિક ધામમાં રવિવારે ચાર પ્રહારની પૂજા, ભસ્મ આરતી, મહા રુદ્રાભિષેક, ભસ્મ યાત્રા અને લાખો બિલિપત્ર અર્પણ કરાશે. ચકુડિયા મહાદેવરખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે 12 વાગ્યા પછી સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવશે. સવા 2 લાખ બીલીપત્ર અર્પણ સાથે બરફના શિવલિંગ દર્શન યોજાશે. કામેશ્વર મહાદેવકામેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ સ્થાપનાની વિશેષતા સાથે સવારે 9 વાગ્યે 1.25 લાખ બિલિ અર્પણ થશે અને સાંજે ભસ્મ આરતી યોજાશે. કાશીવિશ્વનાથપેશ્વાઈ સમયથી ચાલતી પરંપરા મુજબ 25 બ્રાહ્મણ ચાર પ્રહારની પૂજા કરશે. સવારે 7 વાગ્યે ભસ્મ આરતી થશે. 7 શિવલિંગ ધરાવતું આ મંદિર 15 હજારથી વધુ ભક્તોને આકર્ષશે. કર્ણમુક્તેશ્વર મહાદેવકોટેશ્વર ખાતેના પ્રાચીન મંદિરમાં 500 વર્ષ જૂના ખાડાવાળા શિવલિંગ પર ચાર પ્રહાર પૂજા અને ચાર આરતી કરાશે. અહીં 25 હજારથી વધુ ભક્તોની હાજરી અપેક્ષિત છે. ચિન્મય મિશન, સેટેલાઇટસવારે 6.30થી 7.30 વાગ્યા સુધી મૃત્યુંજય હવન કરાશે. સવારે 8.30થી બપોરના 12 વાગ્યા સુધી લઘુરુદ્ર, સાંજે 6.30થી 8.30 વાગ્યા સુધી શિવસહસ્રનામ પૂજા, રાત્રે 9.30 વાગ્યાથી ભજન અને મધરાતે 12 વાગ્યે મહાઆરતી ઉતારાશે. અમરનાથ ધામ, રાયસણમંદિર ટ્રસ્ટ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે અને 13 શિવલિંગ પર રાત્રી દરમ્યાન ચાર પ્રહારની મહાપૂજાનું આયોજન વિશ્વ કલ્યાણ સંસ્થા તરફથી રાખવામાં આવ્યું છે. મહાકાલ મંદિર, સરદારનગરરાત્રે 10.30 વાગ્યાથી ચાર પ્રહરની પૂજા શરૂ થશે. અર્ધરાત્રિએ પૂજા બાદ ભારતવર્ષની સુખ-સમૃદ્ધિ માટે 121 કિલો સાત ધાન્ય અર્પણ કરાશે. અંતમાં સવા ક્વિન્ટલ ફૂલોનો મનોહર સેહરા શૃંગાર કરી મહાઆરતી કરવામાં આવશે. નીલકંઠ મહાદેવ, ઝુલાસણમંદિર ખાતે સવારે માતા પાર્વતીનું મામેરું અને સાંજે 4.30 વાગ્યે ભવ્ય ભસ્મ યાત્રા નીકળશે, જે સ્મશાન સુધી પહોંચી ભસ્મ વિધિ કરશે. અહીં 1008 આહુતિ યજ્ઞ અને 24 કલાક અખંડ ધૂણો મહોત્સવનું આકર્ષણ બનશે. સુરભી શક્તિપીઠ, ભાટદ્વાદશ મહા રુદ્રાભિષેક અને ગોનંદી પૂજન કરાશે. મહોત્સવમાં 3 હજારથી વધુ ભક્તો માટે ગૌશાળાના દૂધ-ઘીથી બનેલો ફરાળી પ્રસાદ આપવામાં આવશે. કામનાથ મહાદેવ, રાયપુરકામનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ જેવી રચનામાં વિશેષ ભોગ અને આરતી સાથે 15 હજાર ભક્તો દર્શન કરશે.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સાબરમતીમાં ખનન કરવા ભૂમાફિયાએ નાળા ગોઠવી 600 મીટર લાંબા રસ્તા બનાવી દીધા!
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ, ધોળકાના 10 ગામોમાંથી પસાર થતી સાબરમતી નદીનું વહેણ રોકી ખનન કરવા ભૂમાફિઓએ નદીમાં ગેરકાયદે નાળા બનાવી 600 મીટરના પાળા અને રસ્તા બનાવી દીધા છે. દિવ્યભાસ્કરના ઇન્વેસ્ટીંગેશનમાં દસ્ક્રોઇના નવાપુરા, મિરોલી અને ટીંબામાં નદીપટ્ટમાં આવા રસ્તા બનાવી ભૂમાફિયાઓ 5 વર્ષ 40 હેક્ટરમાંથી 29 હેક્ટરમાં માટી ચોરી ગયાનું સામે આવ્યું છે. રાજ્યમાં ખનીજ ચોરી પકડવામાં ટોપ-5માં આ વર્ષે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આ વર્ષે 506 કેસ કરી, રૂ.10.16 કરોડની દંડ વસૂલાત પણ કરી છે. પરંતુ ભૂમાફિયાઓની આ નવી મોડસ ઓપરેન્ડી જોઇનેઅધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. કેમ કે, ખાણ ખનીજ વિભાગને લીઝધારકો પાસેથી વર્ષે રૂ.51.1 કરોડની આવક સામે ગેરકાયદે નદીમાં રસ્તા બનાવી થતું ગેરકાયદે ખનન અનેકગણું જણાઇ રહ્યું છે. તાજેતરમાં નવાપુરા, ટીંબામાં ગેરકાયદે 4થી વધુ નાળા બનાવી 600 મીટરના ગેરકાયદે બનાવેલા પાળા (રસ્તા) તોડી દીધા હતા. પરંતુ હજુ દસ્ક્રોઇ અને ધોળકાના સરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, ટીંબા સહિતના ગામોમાં સાબરમતીનું ખુલ્લેઆમ ચીરહરણ થઇ રહ્યું છે. આ વિસ્તારમાંથી નીકળતી સાદીમાટીનું બનાસકાંઠા અને પાટણની ગુણવત્તાયુક્ત માટી સાથે મિશ્રણ કરી બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના ભાવ પણ ઉંચા મળે છે. ખાણ ખનીજ વિભાગના સરકારી વાહનોની વોટ્સએપથી રેકી કરવામાં આવે છેઅમારી 5 સભ્યોની ટીમ ખાનગી કારમાં રેડ કરવા જાય છે. જેમાં 3 માઇન સુરપાઇઝર, 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર છીએ. સરકારી કાર ઓફિસેથી નીકળે ત્યાં જ ભૂમાફિયાઓના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતા થઇ જાય છે. પોલીસ, આરટીઓ તમામના આવા ગ્રૂપ ચાલે છે. > અભય વાઢેર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ આ વર્ષે સરકારી કામગીરી પર ત્રણ હુમલા, ખનીજ ચોરીના કેસ પણ વધ્યાઅમદાવાદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગત વર્ષની સાડા 9 કરોડની વસૂલાત સામે આ વર્ષે 506 કેસ કરી રૂ.10.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ સમયે ભૂમાફિયાને ભાગવાનો સમય મળી જતો હોવાથી ટીમને હુમલાનો પણ ભોગ બનવું પડે છે. આ ગામોમાં નદીનું બેફામ ચીરહરણસરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, કુહા, દેવડી, સહીજ, કમોડ સર્કલ અને બાકરોલ સર્કલ નજીક ખેડૂતોએ બનાવેલા રસ્તા, નદીની અંદર જવા નાળા, માટીના પાળા બનાવી એક્સકેવેટર મશીનો દ્વારા ખોદકામ કરી રેતી સગેવગે કરવામાં આવે છે.
ભાસ્કર એક્સપોઝ:24 મીટર રોડ પરના જે પ્લોટમાં ઓડિટોરિયમ બનાવાનું હતું તે પૂર્વ ધારાસભ્યને આપી દીધો
ન્યૂ રાણીપમાં 24 મીટર રોડ પરના જે પ્લોટ પર લોકો માટે ઓડિટોરિયમ બનાવાનું આયોજન હતું તે પ્લોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ (દલાલ)ની કંપનીને ફાળવી દેવાયો છે. આ પ્લોટ પૂર્વ ધારાસભ્યની કંપનીને ફાળવી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને કારણે એક તરફ જમીનધારકને કરોડોનો ફાયદો થશે, બીજી તરફ ન્યૂ રાણીપ વિસ્તારને મળનારા ઓડિટોરિયમનું બાળ મરણ થઈ ગયું છે. સરવે એફપી 145ની મૂળ જગ્યા ઋતુ બંગલો નજીક રેલવે અંડરપાસ તરફ હતી. જ્યાં ઓડિટોરિયમ બનાવવાનું આયોજન શક્ય ન હતું. બાદમાં રાણીપ વોર્ડમાં આવેલા ફાઇનલ પ્લોટ નં. 309-1 અને 309-2ના પ્લોટને ઓડિટોરિયમ બનાવવા માટેફાળવાયો હતો. આ અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ 2024-25માં તે જગ્યા ઓડિટોરિયમ માટે ફાળવવાનો નિર્ણય કરાયો હતો, જે માટે રૂ. 20 કરોડની ફાળવણી પણ કરાઈ હતી. બાદમાં ચેનપુર ગામની હદમાં આવેલા સરવે નં. 52ને નગર રચના અધિકારી દ્વારા એફપી 309-1ને ફાળવી દેવાનો નિર્ણય કરાયો હતો, જે જગ્યા યાશી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે 7-12માં બોલે છે ત્યારે આ જગ્યા ફાળવી દેવાતાં હવે ઓડિટોરિયમ બનવું મુશ્કેલ છે. ધારાસભ્યો, કોર્પોરેટરો ઓડિટોરિયમ માટે પૂછતા હતા, સંકલનમાં પણ પ્રશ્ન પુછાતોએક સમયે જ્યારે ધારાસભ્ય, કોર્પોરેટર પણ આ સ્થળે ઓડિટોરિયમ ક્યારે બનશે તેની સતત પૃચ્છા મ્યુનિ.ના અધિકારીઓને કરતા હતા. સંકલનમાં પણ ધારાસભ્ય આ બાબતે વારંવાર પૂછપરછ કરતા હતા. અંતે કમિશનરે સ્પષ્ટતા કરવી પડી હતીવારંવાર ધારાસભ્યો, કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવતાં અંતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટતા કરી હતી કે, જીડીસીઆરના નિયમ પ્રમાણે 18 મીટર કે તેથી પહોળા રસ્તા પર જ ઓડિટોરિયમ બનાવી શકાય. જ્યારે હવે પ્લોટના ફેરફારને કારણે હવે આ પ્લોટ 12 મીટરના રસ્તા પર આવી જતાં ત્યાંથી ઓડિટોરિયમમાં પ્રવેશ શક્ય નથી, જેથી હવે આ સ્થિતિમાં ઓડિટોરિયમ શક્ય નથી. બિલ્ડરને કેવી રીતે ફાયદો? 24 મી.ના રોડ પર 25 માળની સ્કીમ બની શકે જંત્રી વધુ છતાં ફેરફાર: ચેનપુરની જમીનનો એફપી રાણીપ ગામના પ્લોટમાં આપી દેવાયો. ચેનપુરની જંત્રી ઓછી હોવાથી, રાણીપની જંત્રી વધુ હોવા છતાં આ ફેરફાર થયો. ફાળવણી નિયમ અનુસાર થઈ છેમારા સરવે નંબરમાં જ મને ફાઇનલ પ્લોટ આપ્યો છે. કોઈ ગામ ફેર કરવામાં આવ્યો નથી. આ ફાળવણી નિયમો અનુસાર થયેલી છે. — અરવિંદ પટેલ (દલાલ), પૂર્વ ધારાસભ્ય
SIRની કામગીરી:નામ કમી થવા છતાં કલેક્ટર સમક્ષ માત્ર સાતે જ અપીલ કરી
એસઆઇઆરની પ્રક્રિયામાં જે મતદારોના નામ સુનવણી બાદ પણ કમી કરી દેવાયા તેઓને નામ જોડાવવા માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરવાનો એક મોકો મળે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી માત્ર સાત મતદારોએ નામ જોડાવવા માટે અરજી કરી છે. મતદારોએ નામ જોડાવવા માટે અપીલમાં નથી જતા તેનું મુખ્ય કારણ છે કે લોકોમા પ્રથમ અપીલના અધિકારને લઇને જાગરૂકતા ન હોવાના કારણે તેનો ઉપયોગ કરતા નથી. જો તેઓ પ્રથમ અપીલ અધિકારીના સુનાવણી પછી પણ સંતુષ્ટ ન હોઇ શકે અને બીજી વખત અપીલ કરવી હોય તો રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પણ અરજી કરી શકે છે. 17 ફેબ્લુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. શહેરમાં નામ કમી કરવા 34 હજારથી વધુ અરજી આવીશહેરની તમામ વિધાનસભામાં નામ કમી કરવા માટે 34 હજારથી વધુ અરજી આવી હતી. સૌથી વધુ દાણીલીમડા અંગેની અરજી મણિનગર વિધાનસભામાં સૌથી વધુ 3100થી વધુ અરજી આવી હતી. 17 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાશે. ત્યારબાદ નામ જોડાવવા માટે અરજી કરી શકાશે. ફાઇનલ યાદી જાહેર થયા બાદ પણ લોકો પોતાનું નામ જોડાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી શકશે.
હાઉસ લિસ્ટિંગ શરૂ કરાશે:એપ્રિલથી ઘરની ગણતરી, મકાન પોતાનું કે ભાડે એવાં પ્રશ્ન પુછાશે
વસતી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) શરૂ કરાશે. કલેક્ટર કચેરી દ્વારા આ પ્રક્રિયા માટે વહીવટી માળખું તૈયાર કરી દેવાયું છે, જેમાં બે નાયબ કલેક્ટર મોનિટરિંગ કરશે અને તેમના માર્ગદર્શન હેઠળ મામલતદાર તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ કામગીરી માટે વિવિધ ઝોન બનાવીને કર્મચારીઓને માસ્ટર ટ્રેનિંગ અપાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી માત્ર ઘરની ગણતરી કરાશે. આગામી વર્ષે ફેબ્રુઆરીથી બીજા તબક્કામાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 1 એપ્રિલથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રક્રિયા શરૂ થશે આ પ્રકારના પ્રશ્નો પુછાશે
ગુજરાત હાઈકોર્ટમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે શનિવારે રજાના દિવસે પણ ન્યાયમૂર્તિઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 18 વર્ષ જૂના એક પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનો કેસ લગ્નનાં 35 વર્ષે સુખદ સમાધાન લઈને સામે આવ્યો છે. લગ્નનાં થોડાં વર્ષોમાં જ એકબીજાને છૂટાછેડા આપી દીધા બાદ પતિએ કોર્ટે નક્કી કર્યા મુજબ ભરણપોષણ આપવાનું બંધ કર્યું હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 18 વર્ષ સુધી પત્નીનો કોઈ પત્તો મળ્યો નહોતો. છેવટે 85 વર્ષીય પતિએ તેમની પત્નીને શોધવા પ્રયત્ન કરતા તે મહુવામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની ભાળ મળી હતી. આથી પતિ તાત્કાલિક તેને ગાંધીનગરમાં પોતાના ઘરે લઇ આવ્યા હતા. ઘરે જ આઈસીયુ બનાવીને 24 કલાક માટે પત્નીની કાળજી રાખી શકે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. અંતે 27 મહિના સુધી કોમાની અવસ્થામાં રહ્યા બાદ અચાનક પત્ની ભાનમાં આવ્યાં હતાં. તેમની નજર સામે પતિને જોતા તે ચોધાર આસંુએ રડી પડ્યાં હતાં. છેવટે પત્ની સાજી થતાં તેમણે કોર્ટમાં સોગંદનામુ કરીને કેસ પાછો ખેંચવા દાદ માગી હતી. છેવટે હાઈકોર્ટે 18 વર્ષે લગ્ન વિચ્છેદના આ કેસનો નિકાલ કર્યો છે. પત્નીને ગાયે શીંગડું મારતા કોમામાં સરી પડી હતીગાંધીનગરમાં નિવૃત્ત સરકારી અધિકારીએ પત્ની સાથેના લગ્ન વિચ્છેદ બાદ કોર્ટના આદેશ મુજબ ભરણપોષણ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તો બીજી તરફ પત્નીની આર્થિક સ્થિતિ બગડતા તેણે નોકરી કરવાનું શરૂ કર્યું હતું. પત્ની ગાંધીનગર છોડીને મહુવાના ગામમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. થોડાં વર્ષો પછી એક દિવસ પત્નીને ગાયે શિંગડું મારતા તેમને પેરાલિસીસ થયો હતો. શરૂઆતમાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ બંધ થતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ 18 વર્ષથી હાઇકોર્ટમાં પડતર હતો, પરંતુ પત્ની હાલ હાઈકોર્ટના જૂના કેસના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસના સ્વરૂપે આ કેસ સુનાવણી પર આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પતિ તરફે વકીલે કોર્ટને જાણ કરી હતી કે તેમની પત્ની ક્યાં રહે છે તે શોધતા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મળ્યાં નહોતાં. છેવટે પત્નીના ગામની કોઈ વ્યક્તિએ તેમની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની જાણ કરી હતી. આથી પતિ 85 વર્ષીય પત્નીને પોતાને ઘરે લઈ આવ્યા હતા અને ઘરમાં જ સારવારની વ્યવસ્થા ઊભી કરી દીધી હતી.

34 C