વડોદરામાં રક્તદાન શિબિર યોજાઈ:માતા હરદેવીની પુણ્યતિથિ નિમિત્તે સજ્જણ દરબાર દ્વારા આયોજન
વડોદરાના વારસિયા વિસ્તારમાં સંતકંવર નગર ખાતે સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવી (સજ્જણ)ની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 18 એપ્રિલ 2026 , શનિવારના રોજ સવારે 9:30 કલાકથી યોજાઈ હતી. આ રક્તદાન શિબિરનું આયોજન ટી/29, 445 કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કરીને સામાજિક ફરજ નિભાવી હતી. શિબિરમાં એકત્રિત થયેલ રક્ત યુનિટ્સ આયુષ બ્લડ બેંક અને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકને મોકલવામાં આવ્યા હતા. આનાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકશે. આયોજક અનિલ ટોલાણીએ જણાવ્યું હતું કે, આ શિબિરનો હેતુ વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, એકવારનું રક્તદાન ત્રણ લોકોને જીવનદાન આપી શકે છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ.
કલોલ શહેરના સિટીમોલ-2 વિસ્તારમાં આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતા ઓએનજીસી કેન્ટીન સંચાલક સહિત પરિવારના સભ્યો બિહાર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા. જેનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 6.30 લાખની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. તસ્કરો 6.30 લાખના દાગીના અને રોકડ લઈને ફરારકલોલ શહેરના સિટીમોલ-2 પાસે આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતા ONGC કેન્ટીનના કોન્ટ્રાક્ટર અને તેમના ભાઈ વતન બિહાર ગયા હોવાથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ અને સોનાના દાગીના સહિત કુલ 6.30 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા છે.મળતી વિગત મુજબ કલોલના સિટીમોલ પાસે રહેતા રાહુલ અગ્નિદેવ નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મામા હરીશ રામધની કામતી ONGC કેન્ટીનનો વ્યવસાય સંભાળે છે. ગત 11મી એપ્રિલના રોજ હરીશભાઈ વતન બિહાર ગયા હતા.જ્યારે તેમના બીજા ભાઈ સંજયભાઈ અને તેમનો પરિવાર પણ ગત 16મી એપ્રિલે વતન જવા નીકળ્યો હતો.રવિવારે સવારે રાહુલ હોટલ પર હતો ત્યારે સંજયભાઈએ તેને ફોન કરીને જાણ કરી હતી કે કોઈએ ઘરે ચોરી કરી હોવાની શંકા છે. CCTV અને પુરાવાઓની મદદથી આરોપીઓની શોધખોળ શરુઆ સાંભળી રાહુલ તુરંત શ્રીનાથ રેસીડેન્સી પહોંચ્યો હતો ત્યારે બંને મામાના ઘરના મુખ્ય દરવાજાના નકુચા તૂટેલા હતા. આથી, તેણે હરીશભાઈના ઘરમાં જઈને જોતા રૂમમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનું લોક પણ તૂટેલું હતું. આ અંગે વધુ તપાસ દરમિયાન તિજોરીમાંથી 1.50 લાખની રોકડ , 20 ગ્રામનો સોનાનો દોરો અને 20 ગ્રામનો સોનાનો સેટ મળીને કુલ 6.30 લાખ રૂપિયાની મત્તા ગાયબ હતી. જોકે બીજા મામા સંજયભાઈના ઘરમાં પણ સામાન વેરવિખેર હતો પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી કોઈ મોટી રકમ-દાગીનાની ચોરી થઈ હોવાનું જોવા મળ્યું ન હતું. જોકે સંજયભાઈ વતનથી પરત આવ્યા બાદ ત્યાં ચોરી થઈ છે કે નહીં તેની ચોક્કસ વિગતો જાણી શકાશે. હાલમાં કલોલ શહેર પોલીસે રાહુલની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોનું પગેરું શોધવા તપાસ તેજ કરી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો:રોજગારથી લઈને ડિજિટલ સેવાઓ સુધીના વાયદા, હેલ્થ-શિક્ષણ પર ખાસ ફોક્સ કરાશે
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને અમદાવાદના વિકાસ માટે મોટા વાયદા કર્યા છે. મેનિફેસ્ટો પર વિસ્તારપૂર્વક જણાવતા આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસાવાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર માત્ર એક શહેર નથી, પરંતુ વિશેષરૂપે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોનો સમાવેશ કરે છે. તાલુકાની સીમા બાદ પણ તેનો વિસ્તાર વધતો જાય છે. તેમનું કહેવું છે કે આજકાલ સામાન્ય લોકો, ખાસ કરીને સ્ત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી જ્યારે કોર્પોરેશનમાં સત્તામાં આવશે ત્યારે લોકોના અધિકારો માટે કામ કરશે. તેઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવી બાબતોમાં પારદર્શિતા લાવવામાં આવશે. 1. સ્વચ્છ, પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત શાસનનો ઉદ્દેશ્યAMCના દરેક નિર્ણયોમાં પારદર્શિતા રહેશે. તમામ ટેન્ડર અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન અને લાઈવ પબ્લિક ઓડિટ હેઠળ કરવામાં આવશે. લોકો માટે 7 દિવસમાં ફરિયાદ નિવારણ માટે કડક સમયમર્યાદા રહેશે. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. AMCના તમામ ખર્ચ અને પ્રોજેક્ટની વિગતો ઓનલાઈન જાહેર કરવામાં આવશે. 2. પાણી, ગટર અને મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિતપાણી અને ગટર શહેરના જીવનનો આધાર છે. દરેક ઘરમાં 24x7 શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાણીની લીકેજ અને બગાડ અટકાવવા માટે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ગટર સિસ્ટમનું સંપૂર્ણ રિડિઝાઇન અને આધુનિકીકરણ કરવામાં આવશે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો વૈજ્ઞાનિક ઉકેલ લાવવામાં આવશે અને ગંદા પાણીના રીસાયક્લિંગ માટે STP સુવિધા વિકસાવવામાં આવશે. 3. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવાશેદરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને મફત પ્રાથમિક આરોગ્ય સેવા મળશે. દરેક ઝોનમાં આધુનિક ‘મહાનગર આરોગ્ય કેન્દ્ર’ બનાવવામાં આવશે. મફત ટેસ્ટ, દવાઓ અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ રહેશે. 24x7 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકાશે. પ્રાઈવેટ હોસ્પિટલ પર સખત નિયંત્રણ અને પારદર્શિતા લાવવામાં આવશે. 4. શિક્ષણ ક્રાંતિ પર ભાર મૂકાયોશિક્ષણ શહેરના ભવિષ્યનો આધાર છે. AMC શાળાઓને સંપૂર્ણ રીતે સુધારીને આધુનિક બનાવવામાં આવશે. દરેક વર્ગમાં ડિજિટલ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષકો માટે નિયમિત તાલીમ અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ અને સ્કોલરશિપ યોજનાઓ ખાસ અમલમાં મૂકાશે. 5. સ્માર્ટ અમદાવાદ બનાવવા રોડ, ટ્રાફિક, જાહેર પરિવહન વ્યવસ્થામાં સુધારો100% ખાડા મુક્ત રોડ નેટવર્ક બનાવવામાં આવશે અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ સાથે AI આધારિત સિગ્નલ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. બસ સેવા (BRTS સહિત) નો વિસ્તાર અને સમયસરતા સુધારવામાં આવશે, સાયકલ ટ્રેક અને પેડેસ્ટ્રિયન ઝોનનો વિકાસ કરવામાં આવશે અને પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. 6. સ્વચ્છતા-પર્યાવરણ માટે ‘સ્વચ્છ અમદાવાદ, સમૃદ્ધ અમદાવાદ’ અભિયાન ચલાવાશેદરરોજ ડોર-ટુ-ડોર કચરો સંગ્રહ કરવામાં આવશે અને કચરાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ અને રિસાયક્લિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન હાથ ધરાશે, દર વોર્ડમાં ગ્રીન ઝોન અને પાર્કનો વિકાસ કરવામાં આવશે અને પ્રદૂષણ નિયંત્રણ માટે સખત નિયમો લાગુ કરવામાં આવશે. 7. રોજગાર-સ્થાનિક વિકાસ માટે યુવાનોને રોજગારી આપવી પ્રાથમિકતાદરેક ઝોનમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે અને સ્ટાર્ટઅપ તથા MSME માટે સરળ લાઈસન્સિંગ વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર્સ માટે સુરક્ષા અને ઝોનિંગની સુવિધા આપવામાં આવશે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે અને રોજગાર મેળા તેમજ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. 8. મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે ખાસ યોજનામહિલાઓ માટે સુરક્ષિત જાહેર પરિસર અને CCTV નેટવર્ક મજબૂત બનાવાશે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ કાર્ડ અને સહાય યોજનાઓ આપવામાં આવશે. બાળકો માટે આરોગ્ય, પોષણ અને શિક્ષણની સુવિધાઓ સુધારવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે સ્વરોજગાર યોજનાઓ હેઠળ તાલીમ કેન્દ્રો ઉભા કરાશે. 9. તમામ AMC સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરાશેમોબાઈલ એપ દ્વારા ફરિયાદ અને ટ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે. AI આધારિત સિટી મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. રિયલટાઈમ ડેટા આધારિત ટ્રાફિક અને પાણી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે અને ‘વન સિટી, વન ડેશબોર્ડ’ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. નાગરિક અધિકાર પત્ર હેઠળ અમદાવાદના દરેક નાગરિકને મૂળભૂત અધિકારો સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના વિસ્તારમાં જ વિરોધ: ગોપાલ રાયઆમ આદમી પાર્ટી પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે આ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપના ઉમેદવારો મેદાનમાં જઈ રહ્યા છે ત્યારે જનતા તેમનો વિરોધ કરી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના મતવિસ્તારમાં જ ભાજપના ઉમેદવારનો જનતા દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના અનેક વોર્ડમાં, સુરતમાં, રાજકોટમાં અને વડોદરામાં ભાજપના ઉમેદવારોનો જનતા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપને પણ તેમના સર્વેમાં જાણ થઈ ગઈ હશે કે જો તેઓ પોલીસ તંત્રનો દુરુપયોગ નહીં કરે તો જનતા તેમની વિરુદ્ધમાં છે. અને જનતા શા માટે વિરોધમાં છે? ‘ભાજપે અત્યાર સુધી શું કર્યું?’આજે આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના અધ્યક્ષે તમારી સામે અમદાવાદ મહાનગરપાલિકાનો મેનિફેસ્ટો રજૂ કર્યો છે. આમ આદમી પાર્ટીનો મેયર બન્યા પછી આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં શું કરશે તે તમામ વાતો તેમાં રજૂ કરાઈ છે. ભાજપે અત્યાર સુધી શું કર્યું છે? તમે મહાનગરપાલિકામાં ગમે ત્યાં જાઓ, રસ્તાઓની શું હાલત છે તે બધા જાણે છે. પુલ બને છે અને પડી જાય છે. આ જ શહેરમાં, જેને ગુજરાતનું હૃદય કહેવામાં આવે છે, ત્યાં એક પુલ પડી ગયો અને ત્યાંના લોકોનો વેપાર-ધંધો ઠપ થઈ ગયો છે. તે પુલ ક્યારે બનશે તેનું કોઈ ઠેકાણું નથી. તેમાં જનતાના સરકારી નાણાં ખર્ચાયા છે. ‘અમદાવાદમાં શાળા-હોસ્પિટલની હાલત ખરાબ’આજની તારીખમાં તમે અમદાવાદ મહાનગરપાલિકાની કોઈપણ સરકારી શાળામાં જશો, તો તમને જોવા મળશે કે લોકો મજબૂરીમાં પોતાના બાળકોને ત્યાં ભણવા મોકલે છે. જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તેઓ જ આ શાળાઓમાં બાળકોને મોકલે છે. તેવી જ રીતે મહાનગરપાલિકાની હોસ્પિટલોની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ‘જેમ જેમ કચરાનો પહાડ વધ્યો, તેમ તેમ ભ્રષ્ટાચાર પણ વધ્યો’ભાજપને આટલા વર્ષો સુધી શાસન કરવાની તક મળી, છતાં તેઓ આ વ્યવસ્થાઓ કેમ સુધારી શક્યા નથી? આજે અમદાવાદમાં ભાજપ શાસિત મહાનગરપાલિકાની બે ઓળખ છે: એક તો ભ્રષ્ટાચારનો ઊંચો પહાડ અને બીજો પીરાણાનો કચરાનો પહાડ. લોકો દર વર્ષે ભાજપને જીતાડતા રહ્યા અને ભાજપ કચરાના પહાડો બનાવતી રહી. જેમ જેમ કચરાનો પહાડ વધ્યો, તેમ તેમ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. ‘કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી’અમદાવાદના લોકોનું કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી. તેથી, હું અમદાવાદના તમામ મતદારોને અપીલ કરું છું કે તમે 40 વર્ષ સુધી ભાજપને તક આપી છે, હવે એક વાર પરિવર્તન લાવો. એક તક આમ આદમી પાર્ટીને આપો, જેની ઓળખ તેના કામથી છે. ‘અમદાવાદની સત્તા સાચા હાથમાં આવશે, તો મોટું પરિવર્તન આવશે’અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ 18,518 કરોડ રૂપિયા છે, જે નાની રકમ નથી. આ બજેટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સાફ-સફાઈની વ્યવસ્થા સુધારી શકાય છે. જો અમદાવાદની સત્તા સાચા હાથમાં આવશે, તો શહેરમાં મોટું પરિવર્તન આવશે. આમ આદમી પાર્ટી પાસે પરિવર્તનનો અનુભવ છે અને અમારા કોર્પોરેટરો તે દિશામાં કામ કરશે. ગુજરાતમાં જે પરિવર્તનની લહેર શરૂ થઈ છે, તે આ સ્થાનિક ચૂંટણીઓમાં વધુ મજબૂત બનશે. ભાજપના દબાણ અને ખોટી એફઆઈઆર છતાં પણ અમારા 5000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે અને તેમને જનતાનું સમર્થન મળી રહ્યું છે. આ અમારી જીત છે. હું ફરીથી લોકોને અપીલ કરું છું કે આ વખતે પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને મત આપો.
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશભરની 15થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે 210 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું છે. વડોદરા સ્થિત આ ગેંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને માત્ર ધૂળેટીની એક રાતમાં 7 કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી હતી. 210 કરોડની છેતરપિંડી અને 273 ગુનાસાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ગેંગ માત્ર ભાવનગર બેંક સુધી સીમિત નહોતી, પરંતુ તેઓ દેશના આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સક્રિય હતા. અત્યાર સુધીની તપાસમાં આ ગેંગ 273 જેટલા સાયબર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું અને કુલ 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું ખૂલ્યું છે. ટેક્નિકલ એરરનો ફાયદો ઊઠાવીને ફ્રોડનો ખેલ ખેલ્યોતપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી આ આખું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, હેકર્સે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય (dormant) એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા અને તે એકાઉન્ટધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા હતા. ત્યારબાદ, સિસ્ટમની આ ખામીનો ફાયદો ઉઠાવી તેમણે એકાઉન્ટમાં 7.34 કરોડની રકમ વર્ચ્યુઅલી જનરેટ કરી હતી. અંતે, આ રકમને સગેવગે કરવા માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપી ભાડેથી મેળવેલા 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પોલીસવડાની મદદથી ઓપરેશન પાર પાડ્યુંઆ સમગ્ર ઓપરેશન ગુજરાત રાજ્યના પોલીસ વડા (CID ક્રાઇમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ડોડીયા, એચ.જે. પરમાર તથા એચ.વી. દેસાઇની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી જટિલ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિવિધ રાજ્યોમાંથી ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડની રકમ ફ્રીઝ કરી દીધી છે, જેથી આરોપીઓ આ પૈસાનો દુરુપયોગ કરી શકે નહીં. મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની સંગઠિત ગેંગ બેંકિંગ સિસ્ટમની ટેક્નિકલ ખામીઓનો લાભ લઈને વ્યાપક સ્તરે છેતરપિંડી કરે છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.”
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પુરા થતા જયુડીશીયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યાં છે. આ મામલે 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કેસમાં, ઉમરગામના 69 વર્ષીય ફરિયાદીને 28 સપ્ટેમ્બર 2024ના રોજ આરોપીઓએ ફોન કર્યો હતો. આરોપીઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે ઓળખાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું કે, તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. ત્યારબાદ, આરોપીઓએ સ્કાયપે (Skype) વિડિયો કોલ દ્વારા ફરિયાદીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા. વીડિયો કોલ દરમિયાન, આરોપીઓએ બનાવટી કોર્ટ રૂમ અને ન્યાયાધીશ જેવું વાતાવરણ ઊભું કરી ફરિયાદીને જેલમાં જવાની ધમકી આપી હતી. આ ડરના કારણે ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1,11,11,111/- ટ્રાન્સફર કરી દીધા હતા. આ રૂપિયા દુબઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ પોલેકર, જય જમન રાખ, રોહિતકુમાર નિતેશ મુંજાણી અને નિર્મળ નીતિન સોલંકી (તમામ રહે. કતારગામ, સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેસમાં સંડોવાયેલા ઇસમોની માહિતી મેળવી આગળની તાપસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ફરિયાદીના અંદાજે 21 લાખ રૂપિયા હોલ્ડ કરાવી રિફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં આશિષ અરવિંદ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ આરોપીઓ હજુ વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે છેતરપિંડીના આ નાણાં દુબઈ સ્થિત વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વલસાડ પોલીસે જનતાને અપીલ કરી છે કે, કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ દ્વારા કોઈની ધરપકડ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. જો આવો કોઈ કોલ આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો.
જૂનાગઢની પવિત્ર ધરતી પર વંથલી રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ ગરિમાપૂર્ણ પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે માત્ર પદવીઓ જ એનાયત નથી કરી, પરંતુ ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓને જીવનના સાચા માર્ગ અને ધર્મની સાચી વ્યાખ્યા સમજાવીને એક નવી દ્રષ્ટિ પૂરી પાડી હતી. કાર્યક્રમમાં આઈ.આઈ.એમ. અમદાવાદના પૂર્વ પ્રોફેસર પદ્મશ્રી અનિલકુમાર ગુપ્તાએ પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં ધર્મ વિશે ખૂબ જ ગહન અને મનનીય વાત કરી હતી. તેમણે વર્તમાન સમયમાં ધર્મના નામે ઊભા થયેલા વાડાઓ પર ટકોર કરતા જણાવ્યું હતું કે, પ્રાચીન કાળમાં ધર્મ ક્યારેય સંપ્રદાયોમાં વહેંચાયેલો નહોતો. આજે આપણે ધર્મને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન કે બૌદ્ધ જેવા અખાડાઓમાં વહેંચી દીધો છે અને તેના કારણે જ માનવ-માનવ વચ્ચે અંતર અને ઉંચ-નીચના ભેદભાવ ઊભા થયા છે. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે સાચો ધર્મ એ આચરણની બાબત છે. ધર્મની વ્યાખ્યા આપતા તેમણે 'સ્વસ્ય ચ પ્રિય આત્મના પરેશામ ન સમાચરેત' શ્લોકનો સંદર્ભ આપ્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે જે વર્તન આપણે આપણા માટે ઈચ્છીએ છીએ, તેવું જ વર્તન આપણે બીજા માટે કરવું જોઈએ. જો આપણે ઈચ્છીએ કે કોઈ આપણી સાથે જૂઠું ન બોલે, આપણી વસ્તુની ચોરી ન કરે અથવા આપણી બહેન-દીકરીને ખરાબ નજરથી ન જુએ, તો આપણે પણ અન્ય સાથે તેવું જ આચરણ રાખવું જોઈએ. બીજા સાથે નમ્રતા અને માનવીય અભિગમ રાખવો એ જ સાચો ધર્મ છે અને આ સંસ્કારો જ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો, આ સમારોહમાં યુનિવર્સિટીની 6 ફેકલ્ટીના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસમાં સૌથી વધુ 9805, કોમર્સમાં 6871 અને શિક્ષણ ક્ષેત્રે 2534 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લો, સાયન્સ, મેનેજમેન્ટ અને મેડિસિન જેવી વિવિધ વિદ્યાશાખાઓના હજારો વિદ્યાર્થીઓએ પોતાની પદવી હાંસલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 36 તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા, જ્યારે 109 સંશોધકોને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં પીએચ.ડી. મેળવનાર ડૉ. સૃષ્ટિ પરમારે પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલી આ સર્વોચ્ચ પદવી પાછળની મહેનતનો શ્રેય ગુરુજનો અને યુનિવર્સિટીને આપ્યો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થી અને સમાજ ખભેખભા મિલાવીને કાર્ય કરશે ત્યારે જ રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે. વર્ષ 2047 માં જ્યારે ભારત આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં આજના આ યુવા સંશોધકોનો પાયાનો ફાળો રહેશે. યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને રજિસ્ટ્રાર પરમાર સાહેબ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ ડિગ્રી માત્ર કાગળના ટુકડા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે. જૂનાગઢના આંગણે યોજાયેલો આ સમારોહ શૈક્ષણિક અને આધ્યાત્મિક ચેતનાનો અનોખો સંગમ સાબિત થયો હતો.
ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાસતા-ફરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી છે જે અંતર્ગત વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ભંડારીયા હાઈવે પર આવેલી 'ઓજ સંસ્થા'માં તોડફોડ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર જયપાલસિંહ ગોહિલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું, ભાવનગર જિલ્લામાં આગામી ચૂંટણીના માહોલને ધ્યાને રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાના પગલે વરતેજ પોલીસ સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરતા ખંડણી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડારીયા ગામ હાઈવે રોડ પર નવનિર્મિત થતી 'ઓજ સંસ્થા' ખાતે રેતી નાખવા બાબતે વિવાદ સર્જાયો હતો, આ કામના આરોપીએ સંસ્થાના માણસો સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળજબરીથી પૈસા પડાવવાના ખંડણી ઈરાદે સંસ્થાની મિલકતને નુકસાન પણ પહોંચાડ્યું હતું, આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 308(5), 332(સી), 351(3), 352, 324(5) મુજબ ગુનો નોંધ્યો હતો, જે આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી ભંડારીયા ગામનો રહેવાસી જયપાલસિંહ મહાવિરસિંહ ગોહિલ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નામે શહેરના જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટા બેનર લગાવવા આવ્યા છે. જે અંગે આચર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ વચ્ચે 10 દિવસથી બેનર યથાવતવિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને ફરિયાદ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 10 દિવસથી જગજાહેર આચારસંહિતા ભંગ કરી, તેમજ રોડ રસ્તા તોડી, ખાડા પાડી રોડ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામા આવ્યું છે. તેમ છતાં ધારાસભ્યના ગેરકાયદેસર કૃત્ય સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે, આ બેનર મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા તેને સાચું ઠરાવી રહ્યું હોય તેમ લાગે છે. તાત્કાલિક હોર્ડિંગ દૂર કરવા માગશૈલેષ અમીને ફરિયાદમાં જણાવ્યું છે કે, તાત્કાલિક આચારસંહિતા ભંગ કરતુ હોર્ડિંગ દુર કરો, હોર્ડિંગ લગાવનાર પર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરો અને વડોદરામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે લોકશાહી જળવાઈ રહે તેવી બંધારણીય ચુંટણી પ્રક્રિયાનું થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. બેનર પર શું લખ્યું છે?વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જે બેનર ધારાસભ્ય યોગેશ પટેલના નામે લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, ' ખડગે સાહેબ જવાબ આપો, શ્રી ફિરોઝ ગાંધી ગુજરાતી હતા તો શું ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મૂર્ખ સાથે લગ્ન કર્યા હતા?
રાજકોટમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે આરોપી સોયબ માંડલીયાએ મોબાઈલ નંબર આપી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી વારંવાર નિકાહ કરવાની લાલચ આપી સગીરાના ઘરમાં ઘુસી રાત્રીના 3 વાગ્યે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરી 20 વર્ષની શખ્ત કેદની સજા અને રૂ.8000નો દંડ ફટકારી સગીરાને ગુજરાત વીકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે રૂ.8 લાખનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે. રાજકોટ શહેર બી ડિવિઝન પોલીએ દ્વારા ભોગબનનાર સગીરાની માતાની ફરિયાદ આધારે આરોપી સોયબ માંડલીયા વિરુધ્ધ અપહરણ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી સોયબ માંડલિયા (ઉ.વ.24) ની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ તમામ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતુ. આ કેસમાં ફરીયાદ પક્ષે કુલ 7 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી સરકારી વકીલ પ્રશાંત પટેલએ આ કેસના સાહેદો-પંચોને તપાસી પુરાવાઓની કળીઓ મેળવીને કેસમાં પોતાની દલીલ રજુ કરી ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો હતો. સરકારી વકીલ પ્રશાંત પટેલએ રજુઆત કરી હતી કે, ભોગબનનાર બાળકીએ તેની જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના જણાવીને આરોપીને ઓળખી બતાવ્યો છે અને તે રીતે ફરીયાદીના કેસને સમર્થન આપ્યું છે તેમજ ભોગબનનારની મેડીકલ તપાસ કરનાર ડોકટર તથા આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરએ પ્રોસીકયુશનના કેસને સમર્થન આપ્યું છે તેમજ આરોપીએ બાળકીના ઘ૨માં ઘુસીને બાળકી સાથે દુષ્કર્મ કરવાનો ઈરાદો સ્પષ્ટ થાય છે તથા ફરીયાદી પક્ષ દ્વારા રજુ થયેલ પુરાવાઓ જોતા આરોપી વિરૂધ્ધ કેસ પુરવાર થતો હોય અને પોકસો એકટ જેવા ગંભીર ગુનામાં આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીને કસુરવાર ઠેરવી પોક્સો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા આરોપી સોયબ ઈબ્રાહીમભાઈ માંડલીયાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ-6 મુજબ આરોપીને 20 વર્ષની શખ્ત કેદની સજા તથા રૂ.5000નો દંડ તથા આઈપીસી કલમ 366 મુજબ 7 વર્ષની શખ્ત કેદની સજા તથા રૂ.2000નો દંડ તથા કલમ 363 મુજબ 5 વર્ષની શખ્ત કેદની સજા તથા રૂ.1000નો દંડ તથા પોકસો એકટની કલમ-6 મુજબના ગુના માટે 20 વર્ષની શખ્ત કેદની સજા ફટકારી ગુજરાત વીકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગબનનાર બાળકીને રૂ.8 લાખનુ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી 'મનરેગા' (MGNREGA) યોજનાને ભાજપ અને મોદી સરકાર નબળી પાડી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે, આ યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી વેતન ચૂકવવામાં આવ્યું નથી, જ્યારે શ્રમિકોને પણ 3 મહિનાથી મજૂરી મળી નથી. 2014 પછી મનરેગા કાયદાને નબળો પાડવામાં આવ્યો: ડૉ. મનીષ દોશીગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોરોના કાળ દરમિયાન ગ્રામીણ જીવન માટે સંજીવની સમાન સાબિત થઈ હતી. આ યોજનાને કારણે શહેરો તરફ થતું સ્થળાંતર અટક્યું હતું. પરંતુ, 2014 પછી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે આ કાયદાને સતત નબળો પાડવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મનરેગામાં નિયમ મુજબ 100 દિવસની રોજગારી આપવી ફરજિયાત છે, પરંતુ ગુજરાતમાં માત્ર 21થી 24 દિવસ જ રોજગારી આપવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર અને ગ્રામ્ય વિરોધી નીતિના આક્ષેપોડૉ. દોશીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે આ યોજના કમજોર બની છે. ભાજપ સરકારે પહેલા યોજનાનું નામ બદલ્યું અને હવે તેને 'તાળું મારવાનું' (બંધ કરવાનું) કામ કરી રહી છે. ગુજરાતમાં હાલ 20.80 લાખ સક્રિય શ્રમિકો નોંધાયેલા છે. આશરે 10 લાખ ગ્રામીણ પરિવારો મનરેગા પર નિર્ભર છે. 20 લાખથી વધુ શ્રમિકોના હિત માટે માંગણી કરતા જણાવ્યું કે, જે કર્મચારીઓને 6 મહિનાથી વેતન નથી મળ્યું અને જે શ્રમિકોને 3 મહિનાની મજૂરી બાકી છે, તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. ભાજપ સરકાર શ્રમિકોને તેમના હક્કથી વંચિત રાખીને પાપ કરી રહી હોવાનું પણ તેમણે અંતમાં જણાવ્યું હતું.
ગાંધીનગરના માધવગઢમાં ગઈકાલે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહના મોત મામલે હવે વિરોધનો વંટોળ વકર્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે ન આવતા રોષે ભરાયેલા પરિવારે ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. શાળાની જર્જરિત દીવાલ પડતા 11 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતુંગાંધીનગરના માધવગઢ ગામની ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1 તોડવાનું કામ અધૂરું મૂકી દેનાર કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ગઈકાલે સાંજે 11 વર્ષીય રઘુનંદનસિંહ રાઠોડ પર જર્જરિત દીવાલ ધરાશાયી થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ પરિસરમાં જ ધરણાં પર બેસી જતા મામલો ગરમાયો છે. ગઈકાલે સાંજે ક્રિકેટ રમી રહેલા 11 વર્ષીય બાળક પર અડધી તોડેલી સ્કૂલની દીવાલ કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ ગુનાહિત લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે છતાં પણ વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિવારે અને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મામલે કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં ન આવે અને તંત્રના જવાબદારો સામે પગલાં ન ભરાય ત્યાં સુધી તેઓ બાળકનો મૃતદેહ સ્વીકારશે નહીં. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારસિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પણ કલાકો સુધી લાશ પડી રહી છતાં વહીવટી તંત્રમાંથી હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી આ પરિવારની વેદના સાંભળવા પહોંચ્યા નથી. ત્યારે પરિસ્થિતિ વણસતી જોઈ હોસ્પિટલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. એક તરફ રઘુનંદનના અકાળે અવસાનથી રાઠોડ પરિવારમાં આક્રંદ છવાયું છે. બીજી તરફ ન્યાય મેળવવા માટે તેમને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધરણાં કરવાની નોબત આવી છે. ગામ લોકોનો એક જ સૂર છે કે આ માત્ર અકસ્માત નથી પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી હત્યા છે અને દોષિતોને સજા અપાવ્યા વિના તેઓ પીછેહઠ કરશે નહીં. જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં.
આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પક્ષમાં થતી અવગણનાને કારણે રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. આ ઘટનાને ચૂંટણી પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક રાજકીય ફટકો માનવામાં આવે છે. વસાવાએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમની અવગણના કરવામાં આવી રહી હતી. આથી, તેમણે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. રાજેન્દ્ર વસાવાએ દાવો કર્યો કે તેમણે ડેડીયાપાડા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ 2012 થી ડેડીયાપાડા વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવામાં તેમની અને તેમની ટીમની મહત્વની ભૂમિકા રહી છે, જેમાં બૂથથી લઈને વિધાનસભા સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા હોય કે ચૂંટણીલક્ષી કોઈપણ નિર્ણય, તેમને તેની જાણ કરવામાં આવતી ન હતી કે તેમનું મંતવ્ય લેવામાં આવતું ન હતું. તેમને કોઈપણ કમિટીમાં સ્થાન અપાયું ન હતું અને ઉમેદવાર નક્કી કરતી વખતે પણ તેમની અવગણના કરવામાં આવી હતી. વસાવાએ વધુમાં દાવો કર્યો કે તેમને સતત નિશાન બનાવીને તેમની અવગણના કરવામાં આવી રહી હતી. નોંધનીય છે કે રાજેન્દ્ર વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાના નિકટના મનાય છે. અગાઉ પણ ડેડીયાપાડાના અનેક AAP નેતાઓએ રાજીનામા આપ્યા છે, જે દર્શાવે છે કે ચૂંટણી પહેલા ચૈતર વસાવાના કેટલાક નિકટના સાથીઓએ તેમનો સાથ છોડ્યો છે.
ગોધરા વોર્ડ 1 માં ગટર-ગંદકીથી હાલાકી:રોડ અને મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ
ગોધરાના વોર્ડ નંબર 1 માં ગટર, ગંદકી અને રોડના અભાવ જેવી મૂળભૂત સુવિધાઓના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેવાને કારણે વિસ્તારનું મેદાન તળાવમાં ફેરવાઈ ગયું છે, જેમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્ટ્રીટ લાઈટ, પીવાનું શુદ્ધ પાણી અને પાકા રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ નથી.એક મહિલા સ્થાનિકે જણાવ્યું કે, અહીં ઘણી ગંદકી છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી. ગટરનું પાણી અને કચરો અહીં જ ભરાયેલો રહે છે. અમે મચ્છરો વચ્ચે રહીએ છીએ અને નાના બાળકો વારંવાર બીમાર પડે છે. સ્થાનિક યુવાને ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના નામે માત્ર એક જ ગલીમાં રોડ બન્યો છે. બાકીના આખા વિસ્તારની હાલત ખરાબ છે. કોઈનું અવસાન થાય ત્યારે મૈયત લઈ જવા માટે પણ આખો રસ્તો ફરીને જવું પડે છે.સ્થાનિકોમાં નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે આક્રોશ છે. તેમનું કહેવું છે કે, તેમના માટે કોઈ પક્ષ (ભાજપ કે કોંગ્રેસ) મહત્વનો નથી, પરંતુ જે પક્ષ તેમના વિસ્તારનો સાચો વિકાસ કરશે તેને જ તેઓ આ વખતે મત આપશે. ખાડી ફળિયા વિસ્તારના રહીશોના આક્ષેપો અને તેમની વેદના તંત્ર સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું. આગામી ચૂંટણી પહેલા આ સમસ્યાઓનો ઉકેલ આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.
નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 12માં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. નિકુંજ પાર્ક સોસાયટી સહિતના રહીશોએ આગામી ચૂંટણીમાં 'કામ નહીં તો વોટ નહીં'ના નારા સાથે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે ગૃહિણીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 વર્ષથી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાનું કામ અધૂરું છે. આ અંગે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે અને કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વોર્ડ-12ના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટર વ્યવસ્થા યોગ્ય ન હોવાથી વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેના કારણે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પાણી ભરાવાને કારણે બાળકોને શાળાએ મોકલવામાં મુશ્કેલી પડે છે, જે તેમના શિક્ષણ પર નકારાત્મક અસર કરે છે. ઉપરાંત, ઉભરાતી ગટરો ગંદકી ફેલાવે છે અને રોગચાળાનો ભય ઊભો કરે છે. આ ઉપરાંત, છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીની પાઈપલાઈન ન હોવાથી ગૃહિણીઓને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકોટ શહેરના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી પાછળના શ્રોફ રોડ પર સ્થિત કોંગ્રેસના નેતાનાં નિવાસસ્થાનેથી પક્ષના ઝંડા ઉતારવાની ઘટના સામે આવતા કોંગ્રેસના આ વોર્ડનાં ઉમેદવાર નયનાબા જાડેજા સહિતનાં સ્થાનિક આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈ તંત્ર અને કોંગી નેતાઓ વચ્ચે બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે કોર્પોરેશ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આરોપ કોંગ્રેસના સ્થાનિક મહિલા અગ્રણી મનીષાબા વાળાએ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મનીષાબા વાળાએ આ મામલે કોર્પોરેશનના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરવાને બદલે ભાજપના દબાણ હેઠળ અને તેમના ઈશારે કોંગ્રેસના ઝંડા ઉતારવા માટે આવ્યા હતા. મનીષાબાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ખાનગી મિલકત કે ઘર પર પોતાની પસંદગીના પક્ષના ઝંડા લગાવે છે, ત્યારે પણ તંત્ર દ્વારા પરવાનગીની માંગણી કરવામાં આવે છે. આ પ્રકારનું વલણ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મનીષાબાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભાજપ દ્વારા 50 થી વધુ સ્થળોએ અને ખાનગી ઘરો પર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઝંડા લગાડવામાં આવ્યા છે. છતાં તંત્ર દ્વારા ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર માત્ર વિરોધ પક્ષને જ નિશાન બનાવી રહ્યું છે, જે સ્પષ્ટપણે પક્ષપાતી વલણ દર્શાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ જાણે ભાજપના ખિસ્સામાંથી નીકળીને કામ કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે આ ઘટનાને ભાજપની હારનો ડર ગણાવ્યો છે. મનીષાબાએ રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે, આવી લુખ્ખી દાદાગીરી અને સરકારી તંત્રના દુરુપયોગ સામે જનતાએ જાગૃત થવાની જરૂર છે. કોંગ્રેસના મતે, જ્યારે સત્તાધારી પક્ષ પોતાની સત્તાના જોરે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેમની નબળાઈ અને ડર સાબિત કરે છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ચુંટણી પંચમાં પણ રજૂઆત કરવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ સંભાવના છે.
ખાદ્યપદાર્થોમાં કરવમાં આવતી ભેળસેળની ઘટના અવારનવાર સામે આવતી હોય છે આ વખતે તો હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે 'દ્વારકાધીશ દૂધની ડેરી'માં દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં પોલીસે અંદાજે 400 લીટર જેટલું શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી પરીક્ષણ અર્થે મોકલી ડેરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધની ડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડી તપાસ કરતા ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરી અને ત્યારબાદ વધુ નફો કમાવવાના આશયથી દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં વિવિધ પદાર્થોની ભેળસેળ કરી કૃત્રિમ કે બનાવટી દૂધ તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું જેથી ફૂડ સેફટી ઓફિસરને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા દૂધના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જેથી તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તે સ્પષ્ટ થઈ શકે. હાલ આ સમગ્ર મામલે ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે જેમાં ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર 41.2°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર:એપ્રિલમાં કાળઝાળ ગરમી, લોકો ત્રસ્ત, રસ્તાઓ સુમસામ
રાજ્યમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. આજે સુરેન્દ્રનગર 41.2C સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. બપોરના સમયે શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળ્યા હતા. ઝાલાવાડ પંથકમાં એપ્રિલની શરૂઆતથી જ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. સવારના અગિયાર વાગ્યાથી જ રોડ પર આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, જેના કારણે બપોર બાદ બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાં, લીંબુ શરબત, શેરડીનો રસ અને જ્યુસ પીતા જોવા મળ્યા હતા. ગરમીની અસર જનજીવન તેમજ પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, વધુ પાણી પીવા, કોટન અને શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની સલાહ અપાઈ છે. સામાન્ય હિટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરાઈ છે.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાને સભા અને રેલી માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન મળતા વિવાદ સર્જાયો છે. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના વકીલો ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે અને પ્રશાસન સામે મોરચો માંડ્યો છે. વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સુશીલ લિમ્બાચીયાએ પ્રશાસન પર કિન્નાખોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ તેમને વિવિધ પક્ષો તરફથી દબાણ અને લાલચ આપવામાં આવી હતી. તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. લિમ્બાચીયાના જણાવ્યા અનુસાર, કોઈપણ કાર્યક્રમની પરવાનગી માટેની અરજી છેલ્લી ઘડી સુધી રોકી રાખવામાં આવે છે. સભાના આગલા દિવસે નકારાત્મક રિપોર્ટ આપી મંજૂરી રદ કરવામાં આવે છે. અગાઉ આયોજિત રેલીની પરવાનગી પણ વ્યાજબી કારણો વગર છેલ્લી ઘડીએ રદ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર. ડી. દેસાઈએ વહીવટી તંત્ર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભોય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુશીલ લિમ્બાચીયા વ્યવસાયે વકીલ છે અને તેમને પ્રચાર કરતા રોકવા માટે પ્રશાસન જાણી જોઈને મંજૂરી આપતું નથી. દેસાઈએ વધુમાં ઉમેર્યું કે, જે વિસ્તારમાં સભા યોજવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કે ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય તેવી શક્યતા નથી. તેમ છતાં વારંવાર પરવાનગી નકારીને બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે. વકીલ મંડળે આ અંગે ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે. વકીલ મંડળે અલ્ટીમેટમ આપ્યું છે કે, જો 24 કલાકમાં ઉમેદવારને પ્રચાર અને સભા માટેની જરૂરી પરવાનગી નહીં મળે, તો પાટણના તમામ વકીલો કલેક્ટર કચેરી સામે ધરણા કરશે. જરૂર પડશે તો આમરણાંત ઉપવાસ પર પણ ઉતરશે. અપક્ષ ઉમેદવાર સુશીલ લિમ્બાચીયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે વકીલ મંડળ અને હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જ આગળની લડત ચલાવશે. પ્રશાસનના કથિત દબાણ વચ્ચે પાટણનું રાજકારણ અને કાનૂની આલમ ગરમાયું છે.
જગદીશ વિશ્વકર્માનો રાહુલ ગાંધી પર કટાક્ષ:'કુંવારાઓને સ્ત્રી સન્માનની ખબર ન પડે'
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત 'જન સમર્થન સભા'માં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને મહિલા આરક્ષણ બિલ અને આદિવાસીઓના વિકાસના મુદ્દે તેમણે વિપક્ષને નિશાન બનાવ્યા હતા. જનસભાને સંબોધતા વિશ્વકર્માએ મહિલા આરક્ષણ બિલનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી આ બિલ અટકાવી રાખીને મહિલાઓને જાહેર જીવનમાં આવતા રોકવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધી પર વ્યક્તિગત કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી કુંવારા હોવાથી તેમને સ્ત્રી સન્માન અને સ્વાભિમાનની ખબર નથી. જે વ્યક્તિ સાત ફેરા ફરે તેને જ ખબર પડે કે પરિવાર અને સ્ત્રીનું મૂલ્ય શું હોય છે. વિશ્વકર્માએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ભારતની દીકરીઓને આત્મનિર્ભર બનતી અટકાવવા માંગે છે. આદિવાસી બહુલ વિસ્તારમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ પર આદિવાસી સમાજને છેલ્લા 6 દાયકાથી માત્ર વોટબેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર રાજ્યના 52 આદિવાસી બહુલ તાલુકાઓમાં સતત કામ કરી રહી છે. તેમણે ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી અને ખેતી માટે 24 કલાક વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવાનું જણાવ્યું. વિશ્વકર્માએ વાંસદા વિસ્તારના વિકાસ માટે એક વર્ષમાં 600 કરોડ રૂપિયાની ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. 'વનબંધુ કલ્યાણ યોજના' હેઠળ દક્ષિણ ગુજરાતને 5 નવી મેડિકલ કોલેજોની ભેટ મળી છે, જે આદિવાસી યુવાનો માટે કારકિર્દીના નવા દ્વાર ખોલશે, તેમ તેમણે ઉમેર્યું. અંતમાં, તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ વિઝન નથી, જ્યારે ભાજપ 'અંત્યોદય'ના મંત્ર સાથે આગળ વધી રહી છે.
વડોદરામાં આમ આદમી પાર્ટીના 40થી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા. જેમાં આપના રાજ્ય પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ રાવલ, અરવિંદભાઈ મૌર્ય અને રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા આરક્ષણ મુદ્દે વડોદરા શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પરિવારમાં એક વિશેષ પ્રસંગ છે. અગાઉ 'આમ આદમી પાર્ટી'માં સક્રિય રીતે કામ કરી રહેલા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો આજે ભાજપની વિચારધારાથી પ્રેરાઈને અમારા પક્ષમાં જોડાયા છે. વડોદરા મહાનગર ભાજપ વતી હું આ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અનેક અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં આપના રાજ્ય પ્રવક્તા શીતલબેન ઉપાધ્યાય, દર્શનભાઈ રાવલ, સંદીપભાઈ રાવલ, અરવિંદભાઈ મૌર્ય અને રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનીષગીરી ગોસ્વામી, વિઠ્ઠલભાઈ આયરે, સંગ્રામસિંહ કડુ, જીગ્નેશભાઈ પટેલ જેવા વિવિધ હોદ્દેદારો અને અકોટા તથા માંજલપુર વિધાનસભાના પાયાના કાર્યકરો પણ આજે ભાજપમાં જોડાયા છે. તેઓએ કહ્યું કે, આજના આ કાર્યક્રમમાં અંદાજે 40 જેટલા મુખ્ય કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જેમાં કુશલભાઈ, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય, પૂનમબેન પારેખ, ક્રિષ્નાબેન જોશી, રવિ ઉપાધ્યાય, જૈમિન પંડ્યા સહિતના અનેક મહિલા અને યુવા કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રહિતની વિચારધારાને ઓળખી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યોને સમજીને પક્ષમાં આવવાનો નિર્ણય લીધો છે. હું વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે આ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને વિશ્વાસ અપાવું છું કે પક્ષમાં તેમને યોગ્ય સન્માન મળશે. આપમાંથી ભાજપમાં જોડાનાર શીતલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મારું બાળપણથી ઘર છે. દીકરી પિયરમાં પાછી આવી હોય એટલું જ કહી શકીશ, અને એની ખુશી અત્યારે હું વ્યક્ત નથી કરી શકતી. હા, કોઈક સમય એવો હતો કે કેટલાક સાનુકૂળ-પ્રતિકૂળ સંજોગોને કારણે અલગ થવું પડ્યું હતું, પણ આજે ફરી ભેગા થવાનો આનંદ એ અલગ થયાના દુઃખ કરતાં ઘણો વધારે છે. મેં ક્યારેય ટિકિટની માંગણી જ નથી કરી. આજે પણ નથી કરી અને વિધાનસભામાં પણ નથી કરી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું સંગઠનની વ્યક્તિ છું અને પહેલેથી સંગઠનમાં માનું છું. હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતી ત્યારે પણ તમે જોઈ શક્યા હશો કે મેં જે સંગઠન બનાવ્યું હતું, તે આજે મારી સાથે આવ્યું છે. પાર્ટી જે કંઈ જવાબદારીઓ સોંપશે અને જ્યાં પણ મારી જરૂર હશે, ત્યાં બધી જ જગ્યાએ હું ૨૪ કલાક હાજર છું. આજે 40થી વધુ હોદ્દેદારો મારી સાથે ભાજપમાં જોડાયા છે.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટ મહાપાલિકાના શાસનની ધુરા કોણ સંભાળશે તેનો નિર્ણય હવે નજીક છે. રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી તારીખ 26ના રવિવારે મતદાન થવાનું છે. કાળઝાળ ગરમી અને આકરા તાપ વચ્ચે યોજાનારી આ ચૂંટણી પૂર્વે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો સમજાશે કે રાજકોટની પ્રજાએ મોટા ભાગે કેસરિયા પક્ષ પર જ કળશ ઢોળ્યો છે. મનપાની સ્થાપનાથી અત્યાર સુધીના પાંચ દાયકાના સમયગાળામાં 8 ચૂંટણી યોજાઈ છે. જેમાં 46 વર્ષ સુધી ભાજપે સત્તા ભોગવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર પાંચ વર્ષનું શાસન આવ્યું છે. આગામી ચુંટણીમાં ભાજપનાં ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ અને 'આપ' પણ મેદાનમાં ઉતર્યા છે. 1973થી શરૂ થયેલી સફર: જનતા મોરચાથી ભાજપ સુધીની પકડરાજકોટ મહાનગરપાલિકા તારીખ 19-11-73ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તે પૂર્વે અહીં નગરપાલિકા અને મ્યુનિસિપલ બરો કાર્યરત હતા. કોર્પોરેશનની સ્થાપના સાથે સરકારે સૌપ્રથમ વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર)ની નિમણૂક કરી હતી. જોકે, લોકશાહી ઢબે પ્રથમ ચૂંટણી 1975માં યોજાઈ હતી. આ પ્રથમ જંગમાં ભાજપના પૂર્વજ ગણાતા 'જનતા મોરચા'એ મેદાન માર્યું હતું. 18 વોર્ડની 51 બેઠકો માટે થયેલા એ મતદાનમાં જનતા મોરચાને 32 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ 19 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. રાજકોટના પ્રથમ મેયર બનવાનું બહુમાન અરવિંદભાઇ મણિયારને ફાળે ગયું હતું, જેમણે પૂરી પાંચ વર્ષની ટર્મ શાસન સંભાળ્યું અને રાજકોટના આધુનિક વિકાસનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ 1981માં બીજી ચૂંટણી યોજાઈ. આ ગાળામાં દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિઓને કારણે શાસનની મુદ્દત લંબાવવામાં આવી હતી, જેના કારણે આ ટર્મ 1981થી 1987 સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં રસાકસી જામી હતી. 51 બેઠકોમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠકો મળી હતી. માત્ર એક બેઠકની પાતળી બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન કર્યું હતું. આ ગાળામાં અરવિંદભાઇ મણિયાર અને વજુભાઇ વાળાએ મેયર પદ સંભાળ્યું હતું. એ સમયે એક બેઠક માટે પક્ષપલટાની રાજનીતિ તેજ બની હતી, પરંતુ સ્વ. ચીમનકાકા ત્રિકોણબાગે નૈતિકતાના મુદ્દે કરેલા ઉપવાસે પક્ષપલટાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 1995ની ઐતિહાસિક બહુમતી અને કોંગ્રેસનો રકાસરાજકોટના રાજકીય ઇતિહાસમાં 1995નું વર્ષ ભાજપ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ ચૂંટણીમાં ભાજપે એવી તોતીંગ બહુમતી મેળવી કે વિપક્ષનું અસ્તિત્વ જ જોખમાયું હતું. 20 વોર્ડની 60 બેઠકોમાંથી ભાજપને 59 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી. જેમાં કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર લાધાભાઇ બોરસદીયા (પટેલ) હતા. જોકે લોકશાહીની પરંપરા જાળવી રાખીને ભાજપે આ એકમાત્ર કોર્પોરેટરને પણ વિપક્ષી નેતાનું પદ, અલાયદી ચેમ્બર અને કાર જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. આ ટર્મમાં રાજકોટને પ્રથમ મહિલા મેયર તરીકે ભાવનાબેન જોષીપુરા મળ્યા હતા. તે સમયે દર વર્ષે મેયર બદલવાની પરંપરા હતી, જેના કારણે વિજયભાઇ રૂપાણી, ઉદયભાઇ કાનગડ, ગોવિંદભાઇ સોલંકી અને મંજુલાબેન પટેલ જેવા નેતાઓને પણ મેયર પદ પર સેવા આપવાની તક મળી હતી. 2000ની સાલમાં કોંગ્રેસને સત્તાની લોટરી લાગીપચીસ વર્ષના એકહથ્થુ શાસન બાદ વર્ષ 2000માં રાજકોટનું રાજકીય ચિત્ર પલટાયું હતું. રાજ્ય સરકારે મેયરની ટર્મ એક વર્ષને બદલે અઢી વર્ષની કરી હતી. ભાજપ આ નવા નિયમ સાથે સત્તા જાળવી રાખવા તૈયાર હતું, પરંતુ પ્રજાના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. બોર કૌભાંડના આક્ષેપો અને લાંબા સમયના શાસન સામેની એન્ટિ-ઇન્કમ્બન્સીને કારણે જનતાએ કોંગ્રેસને સત્તા સોંપી. જેમાં સ્વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે 23 વોર્ડની 69 બેઠકોમાંથી 44 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો હતો. આ દરમિયાન અઢી વર્ષના પ્રથમ મેયર બનવાની તક અશોક ડાંગરને મળી હતી. ત્યારબાદ મનસુખભાઇ ચાવડા અને ગૌરીબેન સિંધવ મેયર બન્યા હતા. જોકે, કોંગ્રેસનું આ પાંચ વર્ષનું શાસન અનેક વિવાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલું રહ્યું હતું. 2005થી 2025: ભાજપનું પુનરાગમન અને વર્ચસ્વકોંગ્રેસના પાંચ વર્ષના શાસનથી નારાજ થયેલી જનતાએ 2005માં ફરી ભાજપને પ્રચંડ બહુમતી આપી. ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 10 બેઠકો મળી. અહીંથી ભાજપના અઢી-અઢી વર્ષના મેયરની પરંપરા શરૂ થઈ, જેમાં પ્રથમ મેયર ધનસુખભાઇ ભંડેરી અને ત્યારબાદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર તરીકે સંધ્યાબેન વ્યાસ આવ્યા હતા. 2010 અને 2015ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય રથ ચાલુ રહ્યો. 2015માં 18 વોર્ડની 72 બેઠકો પર ચૂંટણી યોજાતા ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસે જોરદાર ટક્કર આપી હતી, પરંતુ સત્તાથી દૂર રહી હતી. જેમાં ડો. જૈમન ઉપાધ્યાય અને બીનાબેન આચાર્યએ આ ટર્મમાં મેયર પદ ભોગવ્યું હતું. 2021માં કોંગ્રેસ માત્ર 4 બેઠક પર સમેટાઈ ગઈઆ પછી છેલ્લે યોજાયેલી 2021ની ચૂંટણીમાં ભાજપે ફરી 68 બેઠકો જીતીને કોંગ્રેસને માત્રને માત્ર 4 બેઠકો પર સીમિત કરી દીધી હતી, જેના કારણે કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. જોકે આ 51 વર્ષ દરમિયાન સમયાંતરે રાજકોટ મનપાની હદમાં વધારો કરવામાં આવ્યો હતો. 1997માં રૈયા, મવા અને મવડી જેવા વિસ્તારો ભળ્યા, તો 2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થયો. 2020માં ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મોટામવા અને મનહરપર જેવા ગામો ભળતા રાજકોટનું કદ વિશાળ બન્યું છે. વિકાસની આ યાત્રામાં સૌથી વધુ સમય મેયર તરીકે સેવા આપવાનો રેકોર્ડ અરવિંદભાઇ મણિયારના નામે છે, જ્યારે વજુભાઇ વાળા બીજા ક્રમે રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 26 એપ્રિલનાં યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના મજબૂત ગઢને સુરક્ષિત રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના ગણિત મુજબ જો તેઓ ફરી સત્તા પર આવશે તો નવા મેયર અને પદાધિકારીઓ કોણ હશે તેની અટકળો પણ અત્યારથી તેજ બની છે. બીજી તરફ, વર્ષોથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ નવી આશા સાથે મેદાનમાં છે. તો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે શું રાજકોટની જનતા ફરી એકવાર ભાજપના શાસન પર મહોર મારશે કે પછી 2000ની સાલની જેમ કોંગ્રેસને સતા સોંપશે કે ત્રીજો પક્ષ ફાવશે તેનો જવાબ આગામી દિવસોમાં મતપેટીમાંથી બહાર આવશે. હાલમાં આકરા તાપ વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.
જામનગર પોલીસે સંગઠિત ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ગુજસીટોક (GUJCTOC) એક્ટ હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આઠ આરોપીઓને જેલમાંથી કબ્જો મેળવી છ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ કેસમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. જામનગરમાં દહેશત ફેલાવતી અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી અલ્તાફ ગફાર ખફી ગેંગ અને અસલમ કરીમ ખીલજી ગેંગ વિરુદ્ધ પગલાં લેવાયા છે. અલ્તાફ ખફી ગેંગ સામે કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી સહિત 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં સમીર શકિલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા, તોહિતખાન ઉર્ફે પપ્પુ, તબરેજ હાલાણી, હમીદ ઉર્ફે રાંજો, અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફીનો સમાવેશ થાય છે. પકડાયેલા આ 10 આરોપીઓના 23 એપ્રિલ, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અસલમ ખીલજી ગેંગ સામે 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સાગરીત ગની ઉંમર બશરની ધરપકડ કરવામાં આવી છે, જેના 20 એપ્રિલ, 2026 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ પણ પોલીસે અસલમ ખીલજી ગેંગના ૧૭ અને અલ્તાફ ખફી ગેંગના 1 આરોપીને ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આ તમામ આરોપીઓને સાબરમતી (અમદાવાદ), લાજપોર (સુરત), વડોદરા, રાજકોટ અને મોરબી જેલ સહિત રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવાયા હતા. આ સમગ્ર ઓપરેશન તપાસનીસ અધિકારી જયવીરસિંહ ઝાલા (DySP જામનગર)ની રાહબરી હેઠળ LCB પી.આઈ. વી.બી. ચૌધરી, SOG પી.આઈ. બી.એન. ચૌધરી તથા પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમો દ્વારા અત્યંત ગુપ્તતા અને કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી જામનગરના રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વેરાવળમાં રવિવારે વીજ પુરવઠો બંધ:19 એપ્રિલે 11KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થશે
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026, રવિવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી 11 KV ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. વીજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ સંબંધિત કોઈપણ સમસ્યા માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે. પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે. ELCB લગાવવાથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.
સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. આજે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયા પોતાની ટીમ સાથે ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર અર્થે જતા જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ‘અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો?’ અલ્પેશ કથીરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું. પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો? અલ્પેશની સફાઈ અને મતદારોની દલીલોજ્યારે ભીડ વધી અને સવાલોનો મારો શરૂ થયો, ત્યારે અલ્પેશ કથીરિયાએ શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા કહ્યું, અમે ક્યાં ભાગીએ છીએ? જવાબ તો આપીએ જ છીએ. જોકે, જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ નહોતો. યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે, જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે? અલ્પેશે 'કોર્પોરેટર બન્યા પછી કામ થશે' તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા. ચર્ચા દરમિયાન જ્યારે મામલો ગરમાયો ત્યારે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમે લોકોને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી. કહ્યું, અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો. મહિલાઓએ DJ બંધ કરાવી રસ્તાની સમસ્યા ગણાવીભાજપના ઉમેદવારોના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું અને સમર્થકો હારતોરા કરી રહ્યા હતા. આ ભપકા વચ્ચે સોસાયટીની ગૃહિણીઓ બહાર આવી હતી અને ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓનો આક્રોશ હતો કે, જ્યારે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે? જે વ્યક્તિએ થોડીવાર પહેલા ઉમેદવારને ખેસ પહેરાવ્યો હતો, તે જ વ્યક્તિએ સુવિધાના અભાવે નેતાઓનો ઉધડો લેવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ અને સરકારી સ્કૂલોની દયનીય સ્થિતિ પર પ્રહારવાત માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધી પહોંચી હતી. યુવાનોએ નેતાઓને પૂછ્યું કે, સરકારી શાળાઓની હાલત જુઓ, કોઈ મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને ત્યાં મોકલવા માંગતું નથી. ખાનગી શાળાઓની ફી સિસ્ટમ બેફામ છે, તેમાં તમે શું સુધારો કર્યો? નેતાઓએ સુરતમાં નવી સ્કૂલો બની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ‘સાત કમળ’ લાવવાના લક્ષ્ય સામે જનતાના પાયાના સવાલોભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે, તમારે સાત કમળ (તમામ બેઠકો) જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે. લાઈટ, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જો જનતાએ વલખાં મારવા પડતા હોય, તો કયા મોઢે મત માંગવા આવો છો? નેતાઓએ જ્યારે એમ કહ્યું કે, અમે બધું જ કામ કર્યું છે, ત્યારે લોકોએ પુરાવા માંગ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. 20 વર્ષના સપોર્ટ સામે સુવિધાના નામે મીંડુંસ્થાનિકોએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપને સપોર્ટ કરતો આવ્યો છે, તેમ છતાં આજે પણ ગટરો ઉભરાય છે અને રસ્તા પર ખાડા છે. તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે મોટા મોટા વાયદા કરો છો અને જીત્યા પછી ભૂલી જાઓ છો, તેવો ગંભીર આક્ષેપ યુવાને કર્યો હતો. સોસાયટીના લોકોએ એકસૂરે જણાવ્યું હતું કે, સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, આખી સોસાયટીના રસ્તા ચોમાસામાં નર્ક સમાન બને છે.
મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે, જેનાથી ગુજરાતી કેરીનો સ્વાદ હવે સાત સમુંદર પાર વિદેશો સુધી પહોંચશે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. 'કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે'ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપતાં રાજકીય અને કૃષિ ક્ષેત્રે ચર્ચા જગાવી છે. મહિલા અધિનિયમ બિલની નામંજૂરી મુદ્દે તેમણે કહ્યું કે, વિદેશમાં જન્મેલા લોકો દેશની વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકતા નથી અને કોંગ્રેસ દેશની સ્થિતિ સમજવામાં અસમર્થ રહી છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, ભૂતકાળમાં વિપક્ષ કાશ્મીરનો મુદ્દો યુનોમાં લઈ ગયા હતાં. 'અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંઘાણીએ ગુજરાતની જનતાને એડવાન્સ અભિનંદન પાઠવ્યા અને ભાજપને મળતા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. સંઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ખેડૂતો પર થયેલા અત્યાચાર અને ગોળીબારની ઘટનાઓ બાદ રાજ્યમાં કોંગ્રેસનો સફાયો થયો છે.કૃષિ અને નિકાસ ક્ષેત્રે ગુજકોમાસોલે મોટું પગલું ભર્યું છે. 'કેરી અને શાકભાજીની નિકાસ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરાશે'દિલીપ સંઘાણીએ કહ્યું, મહેસાણામાં આધુનિક કેરી પેકિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ પ્લાન્ટ મારફતે ગુજરાતી કેરી અને શાકભાજીની નિકાસ અમેરિકા અને યુરોપ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવશે. પ્રોડક્ટની માંગને ધ્યાનમાં રાખીને અગાઉ સર્વે પણ કરવામાં આવ્યો છે. આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆતગુજકોમાસોલ ખાતે આજથી મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. સંઘાણીએ જણાવ્યું કે, ગુજકોમાસોલ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત કાર્યરત છે. સંસ્થા ખેડૂતો પાસેથી સીધી કેરી ખરીદી કરશે, જેથી ગ્રાહકોને સારી ગુણવત્તાની કેરી સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગતેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક મીડિયા દ્વારા માહિતી તરત જ લોકો સુધી પહોંચે છે અને તેનાથી કૃષિ ઉત્પાદનોના પ્રચાર-પ્રસારને પણ વેગ મળે છે. ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને લાભ મળે અને ગુજરાતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં ઓળખ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહીસાગરમાં ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ બાળકોનું ચેકઅપ:ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડામાં આરોગ્ય તપાસ યોજાઈ
મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ સહકાર’ના નવા તબક્કા હેઠળ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ આંગણવાડીઓમાં આવતા અત્યંત ઓછા વજનવાળા (SAM) અને મધ્યમ ઓછા વજનવાળા (MAM) બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેના પર તંત્ર સીધી દેખરેખ રાખી રહ્યું છે. આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા તપાસ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થ અને ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયા ઉપસ્થિત રહ્યા હતા. બાળરોગ નિષ્ણાંત ડો. શૈલેષ પંચાલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિશાંત પટેલ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પણ સેવાઓ આપવા હાથ લંબાવ્યો છે અને તેઓ સમયાંતરે સેવા આપશે. આર.બી.એસ.કે. (RBSK) ટીમની મદદથી ઓછા વજનવાળા બાળકોને હોસ્પિટલ સુધી લાવી તેમની બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સઘન તપાસ કરવામાં આવશે. નિદાનના આધારે જે બાળકોને વધુ સારવાર કે વિશેષ ખોરાકની જરૂર છે, તેમની યાદી તૈયાર કરી આગળનું ફોલો-અપ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી અને સરકારી તબીબો તેમજ વહીવટી તંત્રના સંકલનથી ચાલતો આ ‘પ્રોજેક્ટ સહકાર’ મહીસાગર જિલ્લાને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મહીસાગર જિલ્લાની પેરોલ ફર્લો શાખાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નૈનેષ વાલસિંગભાઈ ડામોરને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી 17 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જ IGP વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના નિર્દેશ મુજબ, 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી નાસતા-ફરતા આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી.પી. પટેલ અને તેમની ટીમને આરોપી નૈનેષ ડામોર (રહે. મઘાનીસર, તા. ઝાલોદ, જિ. દાહોદ) રાત્રિના લગ્ન પ્રસંગમાંથી વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ તેના ઘરે આવવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પેરોલ ટીમે ઝાલોદ ખાતે આરોપીના ઘરે તપાસ કરતા તેને તેના મકાન બહાર ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી તેને આગળની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65(એ)(ઇ), 98(2), 81 તથા બીએનએસએસ કલમ 111(બી) મુજબ ગુનો નોંધાયેલો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, રાત્રિના સમયે હાઈવે પર ચાલતી ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. બેકલાઇટ વગરના વાહનોને કારણે થતા અકસ્માતોને રોકવા આ પગલું લેવાયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ (ઇન્ચાર્જ, ખંભાળિયા વિભાગ)ના સુપરવિઝન હેઠળ આ કામગીરી થઈ. જિલ્લા ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજાને ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે મળીને હાઈવે રોડ પર અને ખંભાળિયા નજીક સૂકી ખેતી પાસે આવતા ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા. આનાથી રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે.
આવતીકાલે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાશે કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'ભાવનગર જન્મોત્સવ સમિતિ' દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભાવનગર તેના સ્થાપનાના 304 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાને કારણે અગાઉ નિર્ધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્નિવલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, પરંતુ સેવાકીય અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો સાથે ભાવેણાનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે. ભાવનગરના 304 મા સ્થાપના દિન નિમિત્તે આજે શનિવારના રોજ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હરિ દર્શન એક્સપોર્ટનું મેદાન નિલમબાગ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી હરિકૃષ્ણ એક્સપોર્ટ રિતેશભાઈ લખાણી અને હિતેશભાઈ ગઢાળી દ્વારા આ કેમ્પ યોજાશે, સ્થાપના વર્ષને અનુરૂપ 304 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, આવતીકાલે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે એટલે કે 19 એપ્રિલ રવિવારના રોજ ભાવનગરના સ્થાપક અને પ્રજાવત્સલ રાજવીઓને ભાવવંદના કરવામાં આવશે જેમાં સવારે 10 કલાકે મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ તથા દરબારી કોઠાર સમાધિ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ. કરવામાં આવશે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જન્મોત્સવ સમિતિ દ્વારા અગાઉ કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે અને કિંજલ દવે જેવા દિગ્ગજ કલાકારો સાથે ત્રણ દિવસીય કાર્નિવલનું આયોજન કરાયું હતું, પરંતુ આચારસંહિતાના કારણે આ જાહેર કાર્યક્રમો હાલ મોકૂફ છે, જે આગામી દિવસોમાં યોજાશે તેમ જણાવ્યું હતું,
વેરાવળ PGVCL શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026 (રવિવાર) ના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયાના જણાવ્યા અનુસાર, આનાથી ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા જેવા વિસ્તારો પ્રભાવિત થશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેથી, વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં, પ્રી-મોન્સૂન કામગીરી અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક વાયરિંગના ફિટિંગ કામકાજને કારણે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડે છે. વીજ ગ્રાહકોને તેમના વિસ્તારમાં પાવર બંધ રહેવા અંગેની જાણકારી મેળવવા માટે PGVCL પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ‘પ્રચાર AI’નો ઉપયોગ કરીને મતદારો સુધી પહોંચવાની આ પદ્ધતિ હાલમાં સુરતભરમાં ચર્ચાનો વિષય બની છે. ઉમેદવારો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એવા ગીતો અને કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છે જે સીધા જ મતદારોના હૃદય અને મગજમાં સ્થાન બનાવી લે છે. સંદીપ ચલકવાલા: AI કોર્સ પાસ કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યાવોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવાર સંદીપ ચલકવાલા પોતે ટેક-સેવી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે AI જનરેટિવ અને AI ડેટા એનાલિસિસનો ઓનલાઈન કોર્સ પૂર્ણ કર્યો છે. આ શીખેલી કળાનો ઉપયોગ તેમણે રાજકારણમાં પ્રચાર-પ્રસાર માટે કર્યો છે. જ્યારે સામાન્ય રીતે નેતાઓ પરંપરાગત પ્રચારમાં વ્યસ્ત હોય છે, ત્યારે સંદીપ ચલકવાલાએ ડેટા અને ટેકનોલોજીના સંગમથી પ્રચારને વધુ ઝડપી અને ચોકસાઈપૂર્વક બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આ અભિગમ યુવા મતદારોમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. AI જનરેટેડ ગીતોમાં વણાયા વોર્ડના વિકાસના કામોચૂંટણી પ્રચારને વધુ રસપ્રદ બનાવવા માટે ઉમેદવારો દ્વારા 4 ખાસ AI બેઝ સોંગ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગીતોની વિશેષતા એ છે કે તેમાં માત્ર સંગીત જ નથી, પરંતુ વોર્ડ નંબર 13ના તમામ મુખ્ય વિસ્તારો, ત્યાંના રહેવાસીઓની જ્ઞાતિઓ અને જૂના સુરતની ભૌગોલિક ઓળખને આવરી લેવામાં આવી છે. આ ગીતો દ્વારા મતદારોને જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના શાસનમાં વિસ્તારમાં કયા વિકાસના કામો થયા છે અને ભવિષ્યનું વિઝન શું છે. સંગીતમય પ્રચારને લીધે લોકોમાં આ માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. મતદાન ક્રમાંક યાદ રાખવા માટે ‘મ્યુઝિકલ ફોર્મ્યુલા’ઘણીવાર મતદારો ઉમેદવારોના નામ તો જાણતા હોય છે, પરંતુ મતદાન મથક પર જઈને તેમના ક્રમાંક બાબતે મૂંઝવણ અનુભવતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ પણ AI ગીતોમાં લાવવામાં આવ્યો છે. ગીતના શબ્દોમાં ચારેય ઉમેદવારોના નામ અને તેમના મતદાન ક્રમાંકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંદીપ ચલકવાલાના જણાવ્યા મુજબ, લોકોને લખાણ કરતા ગીતો જલ્દી યાદ રહી જાય છે. જ્યારે મતદાર મતદાન મથકે જશે, ત્યારે આ ગીતની ધૂન અને ક્રમાંક તેમના મનમાં હશે, જે ભાજપના પક્ષમાં મતદાન કરવામાં સરળતા કરી આપશે. ડેટા એનાલિસિસ: કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ છે તે AI નક્કી કરશેમાત્ર ગીતો જ નહીં, પરંતુ ઉમેદવારોએ AI ડેટા એનાલિસિસનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. વોર્ડના મતદારોના ડેટા પર રિસર્ચ કરીને કયા વિસ્તારમાં કયા પ્રકારની જરૂરિયાતો છે અને કઈ જ્ઞાતિના લોકો કયા મુદ્દાઓથી પ્રભાવિત છે, તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ એનાલિસિસના આધારે હવે ટેલર-મેડ (વ્યક્તિગત) મેસેજ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા મુખ્ય હોય, તો ત્યાંના લોકોને તે સંદર્ભે પાલિકાના આયોજનોની માહિતી AI દ્વારા ફિલ્ટર કરીને મોકલવામાં આવશે. જૂના સુરતની ઓળખ અને આધુનિકતાનો સમન્વયવોર્ડ નંબર 13 એ સુરતનો ઐતિહાસિક વિસ્તાર છે. અહીંની ગલીઓ અને મહોલ્લાઓ પોતાની આગવી ઓળખ ધરાવે છે. AI સોંગ્સમાં આ જૂના સુરતની ધરોહરને જાળવી રાખીને તેમાં આધુનિકતાનો તડકો લગાવવામાં આવ્યો છે. પ્રચારમાં આ પ્રકારનો પ્રયોગ કરવાથી એક તરફ વૃદ્ધોને પોતાની સંસ્કૃતિ જોવા મળે છે, તો બીજી તરફ નવી પેઢીને ટેકનોલોજીનો રોમાંચ લાગે છે. ઉમેદવારોનો દાવો છે કે આ ‘હાઈટેક પ્રચાર’થી ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થશે અને વિરોધીઓ માટે આ ટેકનિકલ ટક્કર ઝીલવી મુશ્કેલ બનશે. ભાવિ આયોજન, ટેકનોલોજી દ્વારા સીધો લોકસંપર્કસંદીપ ચલકવાલા અને તેમની ટીમે સ્પષ્ટ કર્યું છે કે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયા પછી પણ તેઓ AI ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રાખશે. આમ, વોર્ડ નંબર 13માં ‘ડિજિટલ ઈન્ડિયા’ના સપનાને સ્થાનિક સ્તરે સાકાર કરવાની આ એક મજબૂત શરૂઆત ગણી શકાય. પ્રચારના અંતિમ દિવસોમાં હવે આ AI ગીતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના હક્કો અને તેમની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના વોર્ડ નં. 6/બ હેઠળ માંડા ડુંગર વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા એક મહિલા સફાઈ કામદાર ગંભીર બીમારીનો ભોગ બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટ કામદાર યુનિયન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દ્વારા અગાઉ આ બાબતની જાણ કરવામાં આવી નથી. આ અંગેની જાણ થતાં જ એજન્સીને નિયમ મુજબના તમામ લાભો આપવા માટે તાકીદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં. 6/બ માં JK સિક્યુરિટી સર્વિસ પાસે સફાઈનો કોન્ટ્રાક્ટ છે. આ એજન્સી હેઠળ છેલ્લા લાંબા સમયથી ઉષાબેન જયેશભાઈ વેગડા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ, ઉષાબેન જ્યારે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને પેરાલિસિસ (લકવો) નો ગંભીર હુમલો આવ્યો હતો. આ આકસ્મિક બીમારીને કારણે તેઓ શારીરિક રીતે અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે જ્યારે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર હતી, ત્યારે JK સિક્યુરિટી સર્વિસ દ્વારા માત્ર 1 મહિનાનો પગાર ચૂકવીને ત્યારબાદ ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવતા કામદાર યુનિયન દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કામદાર યુનિયન અનુસાર ESICનાં નિયમો કામદાર યુનિયન પ્રમુખ પારસભાઈ બેડિયાએ જણાવ્યું કે, ભારત સરકારની કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) મુજબ, કોઈપણ કામદાર જો ફરજ દરમિયાન કે સેવાના સમયગાળામાં બીમાર પડે, તો તેને અનેક પ્રકારની સુરક્ષા મળવાપાત્ર છે. ઉષાબેન પાસે ESIC કાર્ડ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેમને જરૂરી લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ESIC ના નિયમ મુજબ કામદારને આજીવન મફત સારવાર, દવાઓ અને જરૂર પડે તો ઓપરેશનની સુવિધા મળવી જોઈએ. ખાસ કરીને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીમાં 'એક્સટેન્ડેડ સિકનેસ બેનિફિટ' હેઠળ કામદારને આશરે 80% જેટલો પગાર 2 વર્ષ સુધી મળવાપાત્ર હોય છે. વધુમાં, જો કામદાર કાયમી અશક્ત બને, તો તેને અશક્તતા લાભ હેઠળ પેન્શનનો હક્ક મળે છે. 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016' (RPWD Act) મુજબ, કોઈ પણ કર્મચારી અશક્ત બને તો તેને નોકરીમાંથી કાઢી શકાતો નથી, પરંતુ તેને વૈકલ્પિક કામ આપવું પડે છે અથવા પૂર્ણ વળતર ચૂકવવું પડે છે. વધુમાં પારસ બેડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, બીમારીના કારણે કામ પર ન આવી શકતા કોન્ટ્રાક્ટર દ્વારા ઉષાબેનનો પગાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉષાબેનના પતિનું અગાઉ અવસાન થયું હોવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ અતિશય નબળી છે. આ ગંભીર પરિસ્થિતિમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 1 મહિનાનો પગાર આપીને બાકીનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. કામદાર યુનિયને માંગણી કરી છે કે ઉષાબેનને તાત્કાલિક અસરથી ESIC ના તમામ લાભો અપાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા અટકાવવામાં આવેલો પગાર વ્યાજ સાથે ચૂકવવામાં આવે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર JK સિક્યુરિટી સર્વિસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અથવા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સફાઈ કામદારને યોગ્ય ન્યાય નહીં મળે, તો સંવિધાનના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે સમગ્ર વિવાદ અંગે પર્યાવરણ વિભાગના અધિકારી વિવેકભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઉષાબેન દ્વારા આ અંગે અગાઉ કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. આમ છતાં, તંત્ર દ્વારા તેમને છેલ્લા 1 મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. હાલમાં જ્યારે તેમની ગંભીર સ્થિતિ અંગેની જાણકારી મળી છે, ત્યારે તાત્કાલિક ધોરણે એજન્સીને ઉષાબેનને નિયમ મુજબ મળતા તમામ લાભો આપવાની કડક તાકીદ કરવામાં આવી છે. એજન્સીએ પણ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેના કારણે ટૂંક સમયમાં જ ઉષાબેનને બાકી નીકળતા લાભો અને આર્થિક સહાય મળી રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ ફરજ દરમિયાન પેરાલીસીસનો હુમલો આવતા ઉષાબેન શારીરિક અશક્ત બની ગયા છે. હાલમાં તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે તેઓ અડધી રોટલી પણ જાતે ખાઈ શકતા નથી. પરિવારમાં કમાનાર વ્યક્તિ તરીકે માત્ર ઉષાબેન જ હતા, કારણ કે તેમના પતિની અગાઉ હત્યા થઈ ચૂકી છે. આવા કપરા સમયે તેમને આર્થિક અને સામાજિક ટેકાની જરૂર છે. ત્યારે આ કપરા સમયમાં મહાનગરપાલિકાના સત્તાધીશો હવે આ માનવીય અભિગમ સાથેના કેસમાં કેટલી ઝડપથી ન્યાય અપાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે, પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યા અને નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તમામ મતદાર મંડળોના ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, મતદારો શાંતિપૂર્ણ અને સુવિધાસભર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. તેમણે મતદાન મથકો પરની મૂળભૂત સુવિધાઓ (AMF/BMF), સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ વિભાગની તૈયારીઓ, સ્ટાફનું યોગ્ય ડિપ્લોયમેન્ટ અને આદર્શ આચાર સંહિતાના કડક અમલવારી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તાલીમ કાર્યક્રમો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT ની કમિશનિંગ પ્રક્રિયા, સ્ટ્રોંગ રૂમ, મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટર્સ માટેની સુવિધાઓ તેમજ ડિસ્પેચિંગ અને રીસિવિંગ સેન્ટરોની કામગીરી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને મતદાન મથકો પર પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, ઇવીએમ નિદર્શન, કંટ્રોલ રૂમની સુવિધા, શેડો એરિયા મતદાન મથકો અને ઝોનલ રૂટના આયોજન અંગે સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ પરના પ્રતિબંધ સહિત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો પાયો છે અને તેનું સફળ સંચાલન એ આપણી નૈતિક તેમજ વહીવટી જવાબદારી છે. ચૂંટણી નિરીક્ષક આર. એન. પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને મુક્ત વાતાવરણમાં યોજાય તે અત્યંત જરૂરી છે. મતદારો કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવું એ દરેક અધિકારીની જવાબદારી છે. તેમણે કોઈપણ પક્ષ કે ઉમેદવાર પ્રત્યે ભેદભાવ રાખ્યા વિના આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે કડક દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવા માટે પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પ્રચાર-પ્રસારનો જંગ શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાજનોમાં ભારે આક્રોશની વચ્ચે સોલા રોડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઇટ્સ નામના ફ્લેટના રહીશોને ફાળવવામાં આવેલું પાર્કિંગ બીજા મકાનોના રીડેવલોપમેન્ટ માટે ફાળવી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાતોરાત પ્લાનમાં ફેરફાર કરી અને રહીશોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વિના પાર્કિંગને તોડી નાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જો આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. 'અભિષેક એપાર્ટમેન્ટના આગળના ભાગે પાર્કિંગ ફાળવ્યું હતું'રહીશોનોનું કહેવું છે કે નારણપુરા વોર્ડમાં સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઈટ્સ નામની 111 ફ્લેટની રહેણાંક સ્કીમ છે. વર્ષ 2016-17માં બનાવવામાં આવેલા ફલેટના પાર્કિંગ માટે આગળ આવેલા અભિષેક એપાર્ટમેન્ટના 64 ફ્લેટની આગળના ભાગે પાર્કિંગ ફાળવવામાં આવ્યું હતું. ફ્લેટના પાર્કિંગનો પ્લાન પણ તેમાં દર્શાવવામાં આવ્યો હતો અને રહીશોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. તેમાં પાર્કિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 99 વર્ષના ભાડાપટ્ટે AMC દ્વારા પાર્કિંગ ફાળવેલું છે. 'બિલ્ડરે તોડી પાડી પતરા મારી દીધા'અભિષેક એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન આ પાર્કિંગની જગ્યાને 9 એપ્રિલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અભિષેક એપાર્ટમેન્ટનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તે બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવી. બિલ્ડર દ્વારા પતરા મારી અને બેરિકેટિંગ કર્યા બાદ પાર્કિંગની જગ્યા અભિષેક એપાર્ટમેન્ટના રી ડેવલપમેન્ટ માટે લઈ લેવામાં આવી હતી. જે અંગે અભિષેક હાઇટ્સના રહીશોને જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પાર્કિંગનો પ્લાન બદલી નાખવામાં આવ્યો છે અને આગળના ભાગે અન્ય જગ્યાએ પાર્કિંગ ફાળવી દેવામાં આવ્યું છે. વાંધા અરજી કરી છતાં પ્લાનમાં ફેરફારઅભિષેક એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટેના પ્લાનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જોકે અભિષેક હાઈટ્સના રહીશોએ તેમનું પાર્કિંગ યથાવત રાખવા માટે જ કહ્યું હતું. જે અંગેની વાંધા અરજી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશોએ આપી દીધી હતી. તેમ છતાં પણ પ્લાનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોવાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે. 'અમારી જાણ બહાર પાર્કિંગનો નવો પ્લાન મંજૂર'અભિષેક હાઈટ્સના રહેવાસી જયેશ વરુએ જણાવ્યું હતું કે 2016-17 વર્ષમાં ફ્લેટનું પઝેશન આપવામાં આવ્યું હતું. ફ્લેટના આગળના ભાગે 992 મીટર જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી હતી. વિરોધ અને વાંધા અરજી હોવા છતાં અમારી જાણ બહાર નવો પ્લાન મંજૂર કરી અને નવા રીડેવલોપમેન્ટ માટે બિલ્ડરને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેની સામે અમારા કોમન પ્લોટમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. નવા પ્લાનમાં પંપરુમ અને ફાયર સેફટી સિસ્ટમ પણ બતાવવામાં આવી નથી. જો વાહનો પાર્ક થયેલા હોય તો ગાડી પણ ન નીકળી શકે એવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે અમે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીએ છીએ જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીમાં બહિષ્કાર પણ કરીશું. ‘અમને ઈગ્નોર કર્યાં, શરમ નથી આવતી’સોસાયટીના સેક્રેટરી વિજય ઠક્કરે જણાવ્યું હતું કે અમારી કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના દાદાગીરી કરી અને પતરા મારી પાર્કિંગની જગ્યા લઈ લેવામાં આવી છે. સ્થાનિક રહીશોને પૂછવામાં આવ્યું નથી. અમને ઇગ્નોર કર્યા છે આ લોકોને શરમ નથી આવતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવી મોટી ઓથોરિટી હોવા છતાં પણ તેઓ સાંભળતા નથી. કોઈપણ પરવાનગી લીધા વિના પ્લાન પાસ કરી નાખ્યો છે. શું બધે પૈસાનો જ ખેલ થતો હોય છે.પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગે છે: શિવાંગીની શાહસ્થાનિક શિવાંગીની શાહે જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં કોમન પ્લોટ, પાર્કિંગ અને નાનો બગીચો આવેલો છે. જ્યાં નાના બાળકો રમતા હોય છે અને સિનિયર સિટીઝનને બેસવાની વ્યવસ્થા છે. કોમન પ્લોટ અને પાર્કિંગની જગ્યામાં નાના મોટા પ્રસંગો અમે કરતા હોઈએ છીએ. ત્યારે આગળની જગ્યામાં ફાળવેલા પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગી રહ્યા છે ત્યારે જો આ જગ્યા લઈ લેશે તો અમારે વાહન પાર્કિંગ ક્યાં કરવા જઈશું. અમને ખૂબ જ તકલીફ પડશે, અમારે ન્યાય જોઈએ છીએ.
ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીઓના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો છે. પોલીસે FSLનો રિપોર્ટ મેળવીને તપાસ કરી રહી છે. જોકે FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે. હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતોગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી પંકજ મુકેશભાઈ બારીઆને ઝડપી પાડ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન સુરક્ષા' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચનાથી ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પંકજ મુકેશભાઈ બારીઆ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પંચમહાલની પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપી તેના વતન ગઢચુંડી ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.આ બાતમીના આધારે, ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી ગઢચુંડી ખાતેથી આરોપી પંકજ બારીઆને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે ભોગ બનનારને પણ શોધી કાઢ્યા છે. હાલ પંચમહાલ પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
ગઈકાલે 17 એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી. જે મેચ દરમિયાન બે શખ્સો સતત મોબાઈલમાં સટ્ટો રમતા હતા, ત્યારે ઝોન 2 ડીસીપીના Lcb સ્કોડ અને ચાંદખેડા પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંને શખ્સ વિરુદ્ધ અલગ અલગ ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. બે સટ્ટોડીયાઓની ધરપકડપોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બે સટ્ટોડીયાઓની ધરપકડ કરી છે. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પાશ્વ ટાવરમાં રહેતો સૌમિલ અરવિંદ ભાવનગરી અને મધ્યપ્રદેશમાં આવેલા દેવાસ જીલ્લામાં રહેતા ગૌરાંગ બબેલેને લાઈવ મેચ જોઈને ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લીધા છે. જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતીગૌરાંગ સ્પેશિયલ સટ્ટો રમવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. સૌમિલની પુછપરછમાં સામે આવ્યુ છે કે, તેને જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી. સૌમિલની ધરપકડ ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાંચે કરી છે. જ્યારે ગૌરાંગને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે.
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક અનુસૂચિત જાતિના દંપતી પર રાત્રિના સમયે વોકિંગ દરમિયાન ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી, જ્ઞાતિવિશે શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી પ્રગતીબેન હિમાંશુભાઈ શાહએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16/4/2026 ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેઓ અને તેમના પતિ હિમાંશુભાઈ શાંતિનગરના નાકા પાસે વોકિંગ ફૂટપાથ પર બેઠા હતા, આ દરમિયાન એક મહિલા અને બે પુરુષો ત્યાં આવ્યા હતા અને અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો ? તેમ કહી તકરાર શરૂ કરી હતી, જ્યારે દંપતીએ પોતાની જ્ઞાતિ 'વણકર' હોવાનું જણાવ્યું, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ઢેઢા-ભંગી અહીંથી હાલતા થાઓ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા, વાત આટલેથી ન અટકતા આરોપીઓએ હિમાંશુભાઈને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, આરોપી પૈકીના એક શખ્સે સિમેન્ટનો બ્લોક મારી દેવાની કોશિશ કરી હતી અને નાક પર ઈજા પહોંચાડી હતી, સાથે રહેલી મહિલા આરોપીએ પણ ફરિયાદી પ્રગતીબેન સાથે ઝઘડો કરી, તેમને પછાડી દઈ મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ એવી ધમકી પણ આપી હતી કે, આ દરબારનો એરિયો છે, અહીં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું, ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઈજાગ્રસ્ત દંપતીની પાછળ આરોપી હોસ્પિટલ પણ પહોંચ્યો હતો અને ત્યાં ફરીથી હજુ સમજી જજે, નહિતર રહેવું મુશ્કેલ થઈ જશે તેવી ધમકી આપી હતી, મિત્રની મદદથી તપાસ કરતા હુમલો કરનાર શખ્સોના નામ પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા હોવાનું ખુલ્યું હતું, આથી નીલમબાગ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી.એન.એસ ની કલમ 115(2), 351(2), 351(3), 54 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)r, 3(2)(va) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
હળવદમાં જમીન વિવાદે દંપતી પર હુમલો:6 શખ્સોએ માર મારતા હોસ્પિટલે ખસેડાયા
હળવદના મયાપુર ગામે જમીન વિવાદને લઈ એક દંપતી પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેમ કહીને દંપતીને માર માર્યો હતો. આ ઘટનામાં દંપતીને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મયાપુર ગામના બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેમની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપીઓ બળદેવભાઈની ગામોટિયું નામની વાડીએ આવ્યા હતા. તેમણે બળદેવભાઈ અને તેમના પત્ની રમીલાબેન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી. દિલીપભાઈ અને મુન્નાભાઈએ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે અન્ય ચાર અજાણ્યા શખ્સોએ પણ દંપતીને માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે. બળદેવભાઈના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીન વેચી દીધી હતી, જે બાબતે હળવદ કોર્ટમાં હાલ પણ કેસ ચાલી રહ્યો છે. આરોપીઓ આ જમીનનો કબજો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
₹2200ની લેતી-દેતીમાં મિત્રની હત્યા:ડિંડોલીમાં ઘર પાસે જ લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો
સુરતના ડીંડોલી વિસ્તારમાં 2200 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતીદેતીમાં મિત્ર એ મિત્રને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. નવાગામ ડીંડોલીના ચેતન નગરમાં રહેતો 20 વર્ષીય શુભમ કિશોર વાઘ મોડીરાત્રે તેના ઘરની બહાર ઉભો હતો. આ સમયે હુમલાખોરો બે ટુ-વ્હીલર લઈને આવ્યા હતા. શુભમે જ્યારે તેમાના નિલેશ નામના શખ્સ પાસે પોતાના બાકીના 2200 રૂપિયાની માંગણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી બાદ હુમલાખોરે શુભમ પર હુમલો કરી દીધો હતો. મેં નજરે જોયું, પગ ધ્રૂજવા લાગ્યાઃ પ્રત્યક્ષદર્શીઘટના સમયે ત્યાં હાજર મંદાબેન નામના મહિલાએ સમગ્ર ઘટના નજરે જોઈ હતી. તેમણે જણાવ્યું કે, હું દુકાન પર સાબુદાણા લેવા ઉભી હતી, ત્યારે જ બે ગાડી પર છોકરાઓ આવ્યા. પૈસા બાબતે માથાકૂટ ચાલી રહી હતી. જ્યારે પેલા છોકરાએ પૈસા માંગ્યા તો સામેવાળાએ ગાળ આપી અને તરત જ ચપ્પુ કાઢી લીધું. તેણે શુભમની જાંઘ પર અનેક ઘા માર્યા. દૃશ્ય જોઈને મારા પગ ધ્રૂજવા લાગ્યા હતા. મંદાબેન તરત જ શુભમની માતાને બોલાવવા ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં શુભમ લોહીથી લથબથ થઈ ચૂક્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યોહુમલાખોરો પાંચની સંખ્યામાં હોવાનું કહેવાય છે, જેમાંથી એક શખ્સે ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શુભમને તાત્કાલિક ધોરણે ડીંડોલીની બાબા મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો એટલો જોરદાર હતો અને શરીરના નાજુક ભાગે ઘા વાગવાને કારણે રક્તસ્ત્રાવ વધુ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો. પોતાના પૈસા માંગવામાં શું કોઈ ગુનો છે?પરિવાર અને પાડોશીઓના જણાવ્યા મુજબ, શુભમની કોઈ ભૂલ નહોતી. તેણે સામેવાળા પર હાથ પણ ઉપાડ્યો નહોતો. તે માત્ર પોતાના હકના પૈસા માંગી રહ્યો હતો. સ્થાનિકોમાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે આજના સમયમાં સામાન્ય રકમ માટે પણ લોકો કોઈનો જીવ લેતા અચકાતા નથી. મંદાબેને દુઃખ સાથે ઉમેર્યું કે, બિચારો માર ખાઈને મરી ગયો, ખાલી એક ગાળ અને પૈસાના લીધે આવું થયું. પોતાના જ પૈસા માંગવામાં શું કોઈ ચોરી છે? ડીંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઆ હત્યાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન આધારે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી મહત્વની એવી અમદાવાદ મનપામાં તમામ 48 વોર્ડની બેઠકો ઉપર જીત મેળવવા માટે ભાજપના તનતોડ પ્રયાસ શરૂ થયા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસના પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ- કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને આ વોર્ડમાં વધારે ધ્યાન આપીને પ્રચાર જોર શોરથી કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી આવતીકાલે સાંજે કુબેરનગરમાં રોડ શો કરી શકેસૂત્રો મુજબ કુબેરનગર વોર્ડમાં જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સાંજે રોડ શો કરી શકે છે. ભવ્ય બાઇક રેલી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કુબેરનગર વોર્ડમાં રામેશ્વર ચાર રસ્તાથી લઇ ભાર્ગવ રોડ સુધી ભવ્ય કેસરિયા રેલી યોજાઇ શકે છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસ પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ માટે ભાજપની મથામણ192 બેઠકોમાંથી 160થી વધુ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી અને જ્યાં ભાજપ નબળી હોય એવા વોર્ડ પર સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક વોર્ડમાં ભાજપના જ આંતરિક વિખવાદના કારણે ભાજપ નબળી સાબિત થઈ શકે છે. કોંગ્રેસની પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. માત્ર એક જ બેઠક ગુમાવી તેવા વિસ્તારમાં ફોકસજ્યાં ભાજપની આખી પેનલ નથી અને માત્ર એક જ બેઠક ગુમાવી છે એવી ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી બેઠકને જીતવા માટે ભાજપ દ્વારા વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જેના માટે ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં એડીચોટીનું જોરઅમદાવાદ શહેર ભાજપનું 48 વોર્ડમાંથી 13 વોર્ડ ઉપર સૌથી વધારે ધ્યાન આપી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી જેટલી પણ બેઠકો છે જેમાં મુસ્લિમ વિસ્તારમાં પણ ભાજપના કોર્પોરેટરો જીત મેળવે તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી એવી જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડા તેમજ કુબેરનગર બેઠકોમાં પેનલ તોડી ભાજપના ઉમેદવારને જીતાડવા મહેનત કરવામાં આવી રહી છે. જ્યાં એક એક સીટ ભાજપે ગુમાવી છે તેને ફરીથી મેળવવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. કૂબેરનગર વોર્ડમાં પ્રચાર માટે CM ભુપેન્દ્ર પટેલ મેદાનમાંકોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી અને જ્યાં હિન્દી ભાષી મતદારો પણ વધુ છે જ્યાં ભાજપ જીત મેળવી શકે છે. એવી કુબેરનગરની બેઠકને જીતવા માટે શહેર ભાજપનું ફોકસ પહેલાથી જ રહ્યું છે અને આ વિસ્તારમાં જીત મેળવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતારવામાં આવ્યા છે. ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાની ટીમો દ્વારા અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે. અલગ અલગ સોસાયટીઓ અને વોર્ડમાં ખુદ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ કુબેરનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લઈને વોર્ડમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં સંઘવીની જાહેર સભા યોજાઈ હતીઅમરાઈવાડી વોર્ડ ખાતે પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારની પ્રજા ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોના જીતાડે તેને લઈને માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં પણ જીત મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેર સભા યોજવામાં આવી હતી. દર્શક ઠાકરને આ વિસ્તારોની જવાબદારી સોંપાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર મહામંત્રીઓ અને અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચાંદખેડા, અમરાઈવાડી, બાપુનગર, લાંભા વોર્ડની શહેર મહામંત્રી દર્શક ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે સાથે યુવા મોરચાની ટીમ દ્વારા જોરશોરથી વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 160થી વધુ બેઠકો મેળવવા માટેનું ભાજપનું જોર શરૂ થયું છેઇન્ડિયા કોલોની. સૈજપુર બોઘા, સરસપુર- રખિયાલ અને સરદારનગર જેવી બેઠકો ઉપર જીત મેળવવા માટે શહેર મહામંત્રી ગૌતમ કથીરીયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ કેતુ પટેલ અને તેમની ટીમ દ્વારા તમામ 13 વોર્ડની બેઠકોમાં અલગ અલગ વોર્ડમાં દરરોજ પત્રિકા રાઉન્ડ અને ઉમેદવારો સાથે પ્રચારની જવાબદારી આપવામાં આવી છે. ભાજપ 48 વોર્ડમાંથી 13 સિવાયના બાકીના વોર્ડમાં મજબૂત છે અને આખી પેનલનો વિજય નિશ્ચિત માનીને ભાજપ ચાલી રહ્યું છે, ત્યારે બાકીના આ વોર્ડમાં જીત મેળવી 160થી વધુ બેઠકો મેળવવા માટેનું જોર શરૂ થયું છે. કયા કયા વોર્ડમાં ફોક્સ કુબેરનગર ઇન્ડિયાકોલોનીઅમરાઈવાડીચાંદખેડા દરિયાપુર શાહપુર જમાલપુર દાણીલીમડા બહેરામપુરાબાપુનગર સરસપુર - રખિયાલ ખાડિયા સરદારનગર
ગોધરા નગરપાલિકા ચૂંટણીને લઈને એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના વોર્ડ નંબર-9 માટે બે મતદાન મથકો એક એવા સરકારી બિલ્ડિંગમાં ફાળવવામાં આવ્યા છે, જેને પ્રશાસન દ્વારા જ ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મતદારોની સુરક્ષા અને સલામતી પર સવાલો ઉભા થયા છે. જર્જરિત ઇમારત અને તંત્રની ચેતવણી આ મામલો ગોધરા તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગનો છે, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. પ્રશાસને પોતે જ આ બિલ્ડિંગને ભયજનક ગણાવી તેનો ઉપયોગ ન કરવા અને બિલ્ડિંગમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પોતાની જવાબદારી પર રહેશે તેવા નોટિસ બોર્ડ મૂક્યા છે. નિરીક્ષણ વગર એસી ચેમ્બરમાંથી લેવાયો નિર્ણય? આવી જોખમી ઇમારતમાં મતદાન મથકો ફાળવવામાં આવતા ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણી અધિકારીએ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યા વિના જ પોતાની ચેમ્બરમાં બેસીને આ નિર્ણયો લીધા છે, જેના કારણે મતદારોની સલામતી જોખમમાં મુકાઈ છે. વિપક્ષનો આકરો વિરોધ આ ગંભીર બેદરકારી સામે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અજીતસિંહ ભટ્ટી અને સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભટ્ટીએ જણાવ્યું હતું કે, તંત્ર એક તરફ બિલ્ડિંગને ભયજનક જાહેર કરે છે તો બીજી તરફ હજારો મતદારોને ત્યાં વોટ આપવા બોલાવે છે. આ લોકોના જીવ સાથે ચેડાં છે. સમય રહેતા તાત્કાલિક ધોરણે આ મતદાન મથકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. લોકશાહીના પર્વમાં સલામતી ક્યાં? આ ઘટનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, ભયજનક જાહેર કરાયેલા બિલ્ડિંગમાં મતદાન મથકો ફાળવતા પહેલા નિરીક્ષણ કેમ કરવામાં ન આવ્યું? શું મતદારોની સુરક્ષા અને સલામતી તંત્ર માટે કોઈ મહત્વ ધરાવતી નથી?
સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પર રહેતા નિખિલ વસાવે નામના યુવકે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે જ્યારે મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગેસની બોટલનો ટેકો લઈ ફાંસો ખાધોમળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર કિરણ ડાયમંડની પાછળ રહેતો 26 વર્ષીય નિખિલ વસાવે એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રિના સમયે નિખિલે ઘરમાં રહેલી ગેસની બોટલ ઉપર ચડી, ઉપર રહેલા લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મિત્રોએ દરવાજો તોડ્યો ને મિત્રની લાશ જોઈનિખિલના મિત્રો જ્યારે રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ખટખટાવવા અને બૂમો પાડવા છતાં નિખિલે દરવાજો ન ખોલતા મિત્રોને શંકા ગઈ હતી. અંતે મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ તેમના હોશ ઊડી ગયા હતા. નિખિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. હેબતાઈ ગયેલા મિત્રોએ તાત્કાલિક આ અંગે પોલીસ અને 108ને જાણ કરી હતી. યુવકના આપઘાતનું કારણ અકબંધઘટનાની જાણ થતા જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી દુપટ્ટો કાપી નિખિલને નીચે ઉતાર્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. નિખિલે આ પગલું કેમ ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. અશ્વિનીકુમાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ક્રિષ્નાનગર-02 સોસાયટીમાં મધરાતે રિક્ષા અને ક્રેટા કારમાં તોડફોડ કરી આતંક મચાવનાર આરોપી સચીન ધર્મેન્દ્ર ચૌધરીની ધરપકડ બાદ પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે. જે સ્થળે આરોપીએ હાથમાં ચપ્પુ લઈને રહીશોને ધમકાવ્યા હતા, એ જ ગલીમાં લિંબાયત પોલીસ આરોપીને લઈ ગઈ હતી. અહીં જાહેરમાં પોલીસે ડંડાનો એક ફટકો મારતા ફફડી ઉઠેલા આરોપીએ ત્યાં જ કાન પકડીને રડમસ અવાજે માફી માંગવાનું શરૂ કરી દીધું હતું. ધમકી આપનારના તેવર નરમ પડ્યાગત 13 એપ્રિલની રાત્રે આરોપી સચીને ગલીમાં ઉભા રહીને બૂમો પાડી હતી કે, ‘જો તુમ મે સે કોઇ ભી ઘર કે બહાર આયા તો જાન સે માર દુગા’. તે સમયે તેના હાથમાં ચપ્પુ હતું અને મનમાં ગુંડાગીરીનો નશો હતો. જોકે, ધરપકડ બાદ જ્યારે પોલીસ તેને ઘટનાસ્થળે લાવી ત્યારે દૃશ્ય બદલાઈ ગયું હતું. લોકોની હાજરીમાં જ્યારે પોલીસનો ડંડો વીંઝાયો, ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી પોતે સાહેબ ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય લિંબાયતમાં પગ નહીં મૂકું. કહી જીવની ભીખ માંગતો જોવા મળ્યો હતો. ક્રેટા અને રિક્ષાની તોડફોડનો વસૂલાયો હિસાબઆરોપીએ નિર્દોષ લોકોના વાહનો, જેમાં ક્રેટા કાર અને રિક્ષા સામેલ હતી, તેમાં તોડફોડ કરીને આશરે 20,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. ગરીબ રિક્ષાચાલકો અને મધ્યમ વર્ગના લોકોના વાહનો તોડીને તે પોતાની ધાક જમાવવા માંગતો હતો.
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમીમાં વધારો કરી રહી છે. આ મુલાકાતને ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મુલાકાત દરમિયાન, ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બીરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પગલું આદિવાસી મતદારો સાથે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારબાદ તેઓ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનારી “વિકાસ સંકલ્પ સભા”માં વિશાળ જનસભાને સંબોધશે. હાલ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, ત્યારે આ સભા ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન બની શકે છે. સંઘવી પોતાના સંબોધનમાં રાજ્ય સરકારના વિકાસ કાર્યોને ઉજાગર કરશે અને પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા જનતાને અપીલ કરશે તેવી શક્યતા છે. તેઓ સ્થાનિક મુદ્દાઓને પણ સ્પર્શી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. સભાને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગામડાઓ સુધી સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી વધુમાં વધુ લોકો સભામાં ઉપસ્થિત રહે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ડાંગમાં આ વખતે ચૂંટણી જંગ ત્રિપાંખિયો અને રોમાંચક બની રહ્યો છે, ત્યારે રાજ્યના ટોચના નેતાની હાજરી રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે. હવે જોવાનું રહેશે કે હર્ષ સંઘવીની આ મુલાકાત મતદારોના મન પર કેટલો પ્રભાવ પાડે છે અને ભાજપને કેટલી મજબૂતી આપે છે.
(IMAGE - IANS) Trump Warns Iran: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરી પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. એક તરફ તેઓ ઈરાન સાથે યુદ્ધ ખતમ થવાની ખુશીમાં વ્હાઈટ હાઉસમાં 'પાર્ટી' કરવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે ખુલ્લી ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય, તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે.
અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત 55મી અન્ડર-14 ફૂટબોલ સ્પર્ધામાં હિંમતનગરની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની ટીમે વિજય મેળવ્યો છે. આ બે દિવસીય સ્પર્ધા હિંમતનગરમાં યોજાઈ હતી, જેમાં વિજેતા ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા 16 અને 17 તારીખે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર, અમદાવાદ કેન્ટ, ગાંધીનગર કેન્ટ, AFS વડોદરા, AFS જામનગર, જૂનાગઢ અને સામાણા સહિત કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડ બાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ હતી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચી હતી: પીએમ શ્રી કે.વી. હિંમતનગર, પીએમ શ્રી કે.વી. AFS વડોદરા, પીએમ શ્રી કે.વી. અમદાવાદ કેન્ટ અને પીએમ શ્રી કે.વી. ગાંધીનગર કેન્ટ. ફાઇનલ મેચ પીએમ શ્રી કે.વી. હિંમતનગર અને પીએમ શ્રી કે.વી. વડોદરા વચ્ચે રમાઈ હતી. નિર્ધારિત સમયમાં મેચ અત્યંત રોમાંચક રહી હતી. અંતે, પેનલ્ટી શૂટ-આઉટ દ્વારા હિંમતનગરની ટીમે વિજય મેળવી ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. આ વિજય બાદ, હિંમતનગરની આ ટીમ આગામી રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના સમાપન સમયે, વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમની આ સફળતા પાછળ વિદ્યાલયના આચાર્ય મહેન્દ્ર પ્રસાદ, ઇન્ચાર્જ રમત-ગમત શિક્ષક કપિલ ગાંધર્વ, કોચ તરુણ સુતરિયા અને લોકલ એસ્કોર્ટ કેયુર પટેલનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન રહ્યું હતું. નિવૃત્ત રમત શિક્ષક બી.એસ. પટેલનો ફાળો પણ અત્યંત મહત્વનો રહ્યો હતો. સમગ્ર શાળા પરિવાર અને હિંમતનગરના રમતપ્રેમીઓએ વિજેતા ટીમને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.
ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે આગજનીની ઘટના સામે આવી છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગ ચાંપી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. રાત્રિના આશરે 1:45 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ઉભેલા વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 4 બાઈક અને 1 રિક્ષા આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રહીશોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલા જ વાહનોને ભારે નુકસાન પહોંચી ગયું હતું. ચૂંટણીના સંવેદનશીલ સમયે બનેલી આ ઘટના પાછળ કોઈ ચોક્કસ ગેંગનો હાથ છે કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે, તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી તપાસ આગળ ધપાવી દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને લોકોને પોતાના વાહનોની સુરક્ષા માટે વધુ સાવચેત રહેવા અપીલ પણ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગત મોડી રાત્રે હુમલો થયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ પાસે ગઈ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. એમડી ડ્રગ્સ લઈને જતા યુવકને પકડવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા'તાક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ યુવક નહી ઉભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. યુવકની કાર અને ક્રાઈમ બ્રાંચની કાર એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો હતો. યુવકે છરી કાઢીને PSIને મારી દીધીઅકસ્માત થતાની સાથે જ યુવક કારમાંથી ઉતર્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરવા લાગ્યો હતો. યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને PSI પર હુમલો કર્યો હતો. PSIને ઈજા થતાની સાથે જ અન્ય ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ યુવકને ઝડપી લીધો હતો. યુવકની કારમાંથી 25 લાખથી વધુનું ડ્રગ્સ મળ્યુંક્રાઈમ બ્રાંચે યુવકની ધરપકડ કરી છે અને તેની કારની તપાસ કરી હતી. જેમાંથી 25 લાખથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો 10 દિવસ પહેલાં અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
બોડેલી APMCના પૂર્વ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલને ભાજપ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આ નિર્ણયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હેમરાજસિંહ મહારાઉલ બોડેલી અને સંખેડા APMCના પૂર્વ ચેરમેન તેમજ બોડેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ છે. તેમને ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા તેમણે બળવો કર્યો હતો. તેમણે બોડેલીની પાણેજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના કેટલાક આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ચૂંટણી લડવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. આથી, છોટા ઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા એક દિગ્ગજ નેતા સામે લેવાયેલા આ કડક પગલાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. પાણેજ બેઠક પર હેમરાજસિંહ મહારાઉલની અપક્ષ ઉમેદવારીને કારણે સ્પર્ધા વધુ રોમાંચક બનવાની શક્યતા છે.
પાલનપુરમાં ચૂંટણી પ્રચાર માટે નેતાઓને પ્રવેશબંધી:પ્રાથમિક સુવિધાઓના અભાવે પોસ્ટર વોર, સ્થાનિકોનો રોષ
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે પાલનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ શહેરના અનેક વોર્ડમાં 'પોસ્ટર વોર' શરૂ થયો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા મતદારોએ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવાની ચીમકી ઉચ્ચારી છે. આ પોસ્ટર વોરમાં ક્યાંક રાજકીય નેતાઓ અને કાર્યકરોની પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે, તો ક્યાંક કોંગ્રેસના નામ સાથે પ્રચાર માટે ન આવવાના પોસ્ટર જોવા મળ્યા છે. આનાથી રાજકીય માહોલ ગરમાયો છે અને પીડિત મતદારોનો રોષ સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સીટી શાશ્વત સોસાયટીના રહીશો પણ છેલ્લા પાંચ વર્ષથી નેતાઓના વર્તનથી નારાજ છે. વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ વિરોધ પ્રદર્શન કરી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા સ્પષ્ટ ચીમકી આપી છે. આ અંગે સીટી શાશ્વત સોસાયટીના રહીશ પટેલ રજનીકાંત રામાભાઈએ જણાવ્યું હતું કે, અમને પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે. અમે ઘણી અરજીઓ કરી છે, પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી. રજનીકાંતભાઈએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષથી અમે નક્કી કર્યું છે કે દરેક ચૂંટણીનો વિરોધ કરીશું. જ્યાં સુધી અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે વિરોધ કરતા રહીશું. આ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ બંનેના ગઢ ગણાતા વોર્ડમાં જોવા મળી રહી છે, જ્યાં નેતાઓને પ્રવેશબંધીના બોર્ડ લાગી ગયા છે.
જામનગર જિલ્લા પંચાયતમાં શોર્ટ સર્કિટથી આગ:હેલ્થ વિભાગની કચેરીમાં 10 કોમ્પ્યુટર, પ્રિન્ટર બળીને ખાખ
જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં, ફાયર શાખાની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે ૬:૩૮ વાગ્યે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ સમયસર કાબુમાં આવી જતાં અન્ય વિભાગોમાં પ્રસરતી અટકી હતી. હેલ્થ વિભાગની ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર, કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં જિલ્લા પંચાયતની કચેરીને રૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ઘટના બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું છે, તે અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહેલી સવારે આગ લાગી હોવાથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.
નવસારીમાં 'આપ'ના બે નેતા ભાજપમાં જોડાયા:પૂર્વ ઉપપ્રમુખ અને ગત વિધાનસભા ઉમેદવારનો ભાજપ પ્રવેશ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ના બે અગ્રણી નેતાઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાતા નવસારીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ કલ્પેશ વાડોદરિયા અને ગત વિધાનસભા ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર રહેલા ગોપાલ ઢોલરિયા ભાજપમાં જોડાયા હતા. તેઓ પોતાના સમર્થકો સાથે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9 ના ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ ઘટનાને 'આપ' માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, નવસારી જિલ્લામાં ભાજપ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે. હવે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના અસ્તિત્વને પણ નબળું પાડવાની રણનીતિ અપનાવી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરો ઈશારો કર્યો હતો કે ભાજપ માટે હવે કોઈ સ્પર્ધા રહી નથી. કલ્પેશ વાડોદરિયા અને ગોપાલ ઢોલરિયા જેવા સક્રિય ચહેરાઓ ભાજપમાં ભળતા નવસારીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડવાની શક્યતા છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે આગામી દિવસોમાં વિપક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા માર્ગ પર ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલની બસનો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ રોડ નીચે ખાળિયામાં ઉતરી ગઈ હતી, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ગોપાલગ્રામ નજીક બની હતી. અકસ્માત થતા જ વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળતા વાલીઓ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચલાલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ચલાલા પોલીસ પણ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે અકસ્માતના સમાચાર મળતા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો ચલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં નેતાઓની ભીડ જામી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક અને સારવારમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી રોનક વાળાએ જણાવ્યું હતું કે, તેઓ મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બની. બસ ખાળિયામાં ઉતરી ગઈ હતી. રોનકના જણાવ્યા મુજબ, 5 વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓની ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. બસમાં કુલ 20 થી 25 વિદ્યાર્થીઓ સવાર હતા.
ચૂંટણીમાં દરેક પાર્ટી એક બીજા પર એવો આક્ષેપ કરતી હોય છે કે પરિવારના લોકોને જ ટિકિટ આપવામાં આવે છે. છતાં પણ દરેક પાર્ટી નેતાના દીકરાને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતારતી હોય છે. તેમજ રાજકીય જગતમાં સામાન્ય રીતે અનુભવી અને સ્થાપિત નેતાઓને ટિકિટ મળતી હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ગુજરી બજારમાં રમકડાંના પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલા કાર્યકર્તા આશાબેન દંતાણીને શાહપુર વોર્ડમાં સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. આશાબેનને કોંગ્રેસમાંથી ફોન આવ્યો ને નસીબ ખુલ્યું. મારી પાસે સગવડ નથી કહેતા જ કોંગ્રેસે સપોર્ટ કર્યો. રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેનને કોંગ્રેસે ટિકિટ આપીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે શાહપુરમાંથી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવતા એક સામાન્ય મહિલાની અસામાન્ય સફર શરૂ થઈ ગઈ છે. ગુજરી બજારમાં ફૂટપાથ પર રમકડાં વેચીને ગુજરાન ચલાવતા આશાબેન હવે લોકોના હકો માટે લડવા મેદાનમાં ઉતરી છે. દિવસભર મહેનત કરીને પરિવારનું પેટ ભરનારા આશાબેન લોકોની સમસ્યા અને મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ઘર ઘર સુધી જઈ રહ્યાં છે. આશાબેન માટે ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવનભરના સંઘર્ષને અવાજ આપવાનો પ્રયાસ છે. પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતોછેલ્લા 25 વર્ષથી આશાબેન દંતાણી ગુજરી બજારમાં બેસે છે ત્યાં રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. કોંગ્રેસમાં ટિકિટ માટે આશાબેન દંતાણીએ કોઈપણ પ્રકારની દાવેદારી નોંધાવી નહોતી. છતાં પાર્ટીએ પાથરણા પર વસ્તુ વેચીને રોજગાર કરતી એક સામાન્ય મહિલા કાર્યકરને તક આપી મતદારોને આકર્ષવા માટે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. આશાબેનનું જીવન સામાન્ય નાગરિકની જેમ સંઘર્ષભર્યું રહ્યું છે. જેથી આશાબેનને આશા પણ નહતી કે તેમને ચૂંટણી લડવાની તક મળશે. જેથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે પૈસાની સગવડ ન હોવાથી ચુંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આજે પાર્ટી અને પેનલ સાથે મળીને ચૂંટણી જીતાડવા માટે કામ કરી રહી છે. 'ચૂંટણી જીતવા પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી'કોઈપણ ચૂંટણીમાં પ્રચાર અને જીતવા માટે સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. પૈસા વગર કોઈપણ ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જતી હોય છે. પરંતુ શાહપુર વોર્ડમાં આશાબેન દંતાણી તેમની પેનલ સાથે જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી જીતવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આશાબેન દંતાણીને જનતા સાથે જોડાયેલા ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ગરીબોની આશા આશાબેનના નારા સાથે શાહપુર વોર્ડમાં આખી પેનલ લોકોના ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી રહી છે. આખી પેનલ લોકોના ઘરે ઘરે જઈને મતદારોનો વિશ્વાસ માટેના પ્રયાસ કરી રહી છે. તેમજ ઉમેદવારોનું માનવું છે કે, ચૂંટણી જીતવા માટે પૈસા નહીં જનતાનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે. 'ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે....'શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટિકિટ આપી એની ખુબ ખુશી છે. રસ્તા પરથી અમને ક્યાંથી ક્યાં લાવીને બેસાડી દીધા છે. તમામ સમાજ અમારી સાથે જ છે. જેથી ચૂંટણી માટે પૈસાની જરૂર નથી પ્રજામાં સાથ અમે સહકારની જરૂર છે. અમે સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું કે કોંગ્રેસ અમને ટિકિટ આપશે. ચૂંટણી લડવા માટે ફોન આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે, મારી પાસે એટલી સગવડ નથી તો પાર્ટીએ સપોર્ટ કર્યો જેથી ચૂંટણી લડવાની તૈયારી કરીએ છીએ. 'ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ'પૈસાથી નહીં જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણી લડીશું તેવું કહેતા આશાબેને જણાવ્યું હતું કે, ગુજરી બજારમાં જૂના રમકડા વેચવાનું કામ કરું છું. તેમજ બાકીના દિવસ ફૂટપાથ પર રમકડા વહેંચીએ છીએ. કોંગ્રેસે આ વખતે અમારા જેવા લોકોને ટિકિટ આપી તે ગર્વની વાત કહેવાય છે. ધંધો પણ ચાલુ રાખીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ. 'અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ'તેને વધુમાં કહ્યું કે, જનતાને પાણી, ગટર અને રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન આપી વિશ્વાસ જીતીએ છીએ. મારા જેમ અનેક પથારાવાળા લોકોને પણ ખૂબ સમસ્યાઓ છે. એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ બેસવામાં આવે છે જેથી તે લોકો પણ હેરાન થાય છે. જેથી અમારી ઈચ્છા એવી છે કે તેમને સારી જગ્યા ફાળવવામાં આવે. 'આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે'શાહપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અકબર ભટ્ટીએ જણાવ્યું હતું કે, ગયા પાંચ વર્ષમાં અમે જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારી સાથે ટીમમાં પૂર્વક કોર્પોરેટર છે, યુવાનો ઉમેદવાર છે અને આ વખતે અમે એક ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કર્યો છે. જેમાં ગરીબ ઘરમાંથી પાથરણાવાળા બહેન આશાબેનને ટિકિટ આપી છે. દેવીપૂજક સમાજમાંથી આજ સુધી કોઇએ ટિકિટ આપી નથી જ્યાં અમે તેમને ટિકિટ આપી છે. જે પ્રજાની વચ્ચે રહેતો હોય છે અને પ્રજાનો વ્યક્તિ હોય છે તેને પૈસાની જરૂર હોતી નથી. જેથી ઓછા પૈસા ખર્ચ કરી આશાબેન સાથે આખી પેનલ ચૂંટણી લડી રહી છે.
હિંમતનગરમાં પક્ષીઓ માટે 500 કુંડાનું વિતરણ:ભારત વિકાસ પરિષદ અને ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વિતરણ કરાયું
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ અને સ્વ. સાયરકુંવર નારાયણસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પક્ષીઓ માટે 500 પાણીના કુંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં નગરજનોને કરાયું હતું. આ કાર્યક્રમ શનિવારે સવારે મહાવીરનગરથી કાંકરોલ રોડ પર આવેલા મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં યોજાયો હતો. ગરમીની સિઝનમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો દ્વારા આ કુંડાનું વિતરણ કરાયું હતું.
GCAS પોર્ટલની ખામીઓ સામે ABVP મેદાને:ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલ હેઠળ લાવવાની માંગ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ABVPએ આ ખામીઓ તાત્કાલિક દૂર કરવા અને ખાનગી યુનિવર્સિટીઓને પણ આ પોર્ટલ હેઠળ લાવવાની માંગ કરી છે. GCAS પોર્ટલ દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી રહી છે. રજિસ્ટ્રેશન માટે ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ABVP નો મુખ્ય વાંધો ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલમાંથી બાકાત રાખવાનો છે. આના કારણે વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ચૂકવીને પ્રવેશ લેવાની ફરજ પડે છે, જેનાથી સરકારી અને સંલગ્ન કોલેજોની સ્થિતિ નબળી પડી રહી છે. અગાઉ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આથી, ABVP એ હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને આર્ટ્સ કોલેજ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVP એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં ગુજરાતના તમામ શૈક્ષણિક કેમ્પસોની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં લેવાનારા આ નિર્ણયની જવાબદારી સરકારની રહેશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સુરતમાં ભાજપનો ડર હવે સ્પષ્ટ રીતે સપાટી પર આવી ગયો છે. નેતાઓ ગલીઓમાં ધૂળ ઉડાડતા થયામનોજ સોરઠિયાએ ભાજપની રણનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ વખતે સુરતની અંદર ભાજપને પોતાની હાર દેખાઈ રહી છે. જે મોટા નેતાઓ ક્યારેય જનતાની વચ્ચે દેખાતા નહોતા, તેઓ આજે સોસાયટીઓ અને સાંકડી ગલીઓમાં પ્રચાર કરવા મજબૂર બન્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગલીએ-ગલીએ ધૂળ ઉડાડતા જોવા મળે છે, જે તેમની નબળાઈ અને ડરની નિશાની છે. વિસાવદરના જંગની યાદ અપાવીતેમણે વિસાવદરની પેટાચૂંટણીના ઉદાહરણ સાથે ભાજપને ઘેરતા કહ્યું કે, વિસાવદરમાં જ્યારે ગોપાલ ઈટાલિયા મેદાનમાં હતા, ત્યારે જે ગામડાઓમાં તલાટી મંત્રી પણ નહોતા જતા, ત્યાં આખી કેબિનેટ, મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ઉતરવું પડ્યું હતું, એ જ સ્થિતિ આજે સુરતમાં જોવા મળી રહી છે. ભાજપને ખબર પડી ગઈ છે કે જનતા હવે તેમનાથી વિમુખ થઈ રહી છે. સુરતીઓ 'વિસાવદરવાળી' કરશેસોરઠિયાએ વધુમાં ઉમેર્યું કે, વિસાવદરના લોકોએ ભાજપને જે રીતે પરચો બતાવ્યો હતો અને સાબિત કર્યું હતું કે જો કામ નહીં કરો તો સત્તા પરથી ફેંકી દઈશું, એ જ ઇતિહાસ સુરતમાં દોહરાવાશે. સુરતના લોકો આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવા તૈયાર છે અને સંપૂર્ણ પરિવર્તન લાવીને જ ઝંપશે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં જવાહરનગર સોસાયટી પાસે ઘર આંગણે રમતા-રમતા ગુમ થયેલા ત્રણ વર્ષના માસૂમ બાળકને વરાછા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગ દ્વારા પોલીસે આ સફળ કામગીરી પાર પાડી છે. પિતા જમવા બેઠા ને માસૂમ રમતા-રમતા નજર બહાર થઈ ગયોમળતી માહિતી પ્રમાણે, વરાછાની જવાહરનગર સોસાયટીમાં રહેતા મુન્નાકુમાર મહંતો જેઓ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત રોજ બપોરે દોઢ વાગ્યાના સુમારે ઘરે જમવા આવ્યા હતા. આ સમયે તેમનો 3 વર્ષનો પુત્ર કાર્તિક ઘર પાસે રમી રહ્યો હતો. જોકે, થોડી જ વારમાં કાર્તિક અચાનક નજરથી ઓઝલ થઈ ગયો હતો. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી હોવા છતાં બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે ગભરાયેલા પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસની સક્રિયતા, 52 CCTV કેમેરા તપાસ્યાબાળક ગુમ થયાની ગંભીરતાને સમજીને વરાછા પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પીએસઆઈ એ.જી. પરમાર અને તેમની સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ટૂંકા સમયમાં આશરે 52 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સો. મીડિયા અને એનાઉન્સમેન્ટથી સફળતા મળીસીસીટીવી ફૂટેજની સાથે-સાથે પોલીસે બાળકના ફોટા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં વાયરલ કર્યા હતા અને સ્થાનિક વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ પણ શરૂ કરાવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સ્ત્રોતો (હ્યુમન સોર્સ) ની મદદથી પોલીસને ચોક્કસ કડી મળી હતી કે બાળક રણજીતનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુપોલીસની ટીમે રણજીતનગર ખાતેથી માસૂમ કાર્તિકને હેમખેમ શોધી કાઢ્યો હતો અને તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોતાના ખોવાયેલા કાળજાના કટકાને ફરીથી સામે જોઈને માતા મમતાદેવી અને પિતા મુન્નાકુમારની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા. વરાછા પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કામગીરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.
ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગઈકાલે(17 એપ્રિલે) મધરાતે તસ્કરોએ માણસા માર્કેટ યાર્ડને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ કોઈ પણ ડર વગર ઠંડા કલેજે એક પછી એક 17થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. તસ્કર ટોળકીએ 17થી વધુ દુકાનોના તાળા તોડ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે તસ્કર ટોળકીએ માણસા માર્કેટ યાર્ડમાં ત્રાટકીને તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યાર્ડની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અંદર પ્રવેશ કર્યો હતો. નવાઈની વાત એ છે કે કોઈ એક-બે નહીં પરંતુ લાઇનસર 17થી વધુ દુકાનોના તાળા તોડી નાખવામાં આવ્યા હતા. લાઈનબદ્ધ દુકાનોના તાળા તૂટેલા અને શટર અધખુલ્લાબાદમાં તસ્કરોએ ગણતરીના કલાકોમાં જ આટલી મોટી સંખ્યામાં દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે વેપારીઓ પોતાનો રોજિંદો વેપાર કરવા માટે માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતાં. માર્કેટ યાર્ડની લાઈનબદ્ધ દુકાનોના તાળા તૂટેલા અને શટર અધખુલ્લા જોઈ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સામાન વેરવિખેર અને રોકડ રકમની ચોરી વેપારીઓએ અંદર જઈને જોતા માલ સામાન વેરવિખેર પડ્યો હતો અને ગલ્લાઓમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડ્યા હતા.આ બનાવની જાણ થતા જ માણસા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ અને સીસીટીવીના આધારે તપાસ એક બે નહીં પણ એકસાથે 17થી વધુ દુકાનોના તાળા તૂટ્યાની બુમરાણ ઉઠતા પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને જોઈ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. ઉપરાંત માર્કેટ યાર્ડમાં લાગેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે તપાસ ચાલુહાલમાં પોલીસે ભોગ બનનાર વેપારીઓની યાદી તૈયાર કરી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે. તેની વિગતવાર માહિતી મેળવવાની કવાયત શરૂ કરી છે. જોકે આ ઘટનાએ માણસામાં પોલીસની નાઇટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત (17 એપ્રિલે) મોડી રાત્રે એક રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે: આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તંત્રની બેદરકારીના આક્ષેપ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ અને મૃતકના પરિવારજનોએ લીંબડી નગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું સાચું કારણ અને ફાયરની સેવાઓમાં થયેલા વિલંબ અંગેના મુદ્દાઓ તપાસનો મુખ્ય વિષય બન્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વોરા સોસાયટી અને લીંબડી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
RTE અરજીની તારીખ 23 એપ્રિલ સુધી લંબાવાઈ:પાટણમાં 700 અરજી રદ, 1750ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ
પાટણ જિલ્લામાં ચાલુ શૈક્ષણિક સત્ર માટે RTE હેઠળ ધોરણ 1માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 103 શાળાઓમાં 895 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને અત્યાર સુધીમાં કુલ 2650 જેટલી અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં 700 અરજીઓ વિવિધ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 1750 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ હતી, જે હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી છે. કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલ પછી કુલ કેટલી અરજીઓ આવી છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ થશે. ગત વર્ષે RTE હેઠળ 1077 બેઠકો ફાળવવામાં આવી હતી, જેમાંથી 963 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે સમયે 45 અરજીઓ રદ કરવામાં આવી હતી.
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે પૂરેપૂરો જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનનો દોર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયોનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળેઆ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને શિસ્તબદ્ધ રીતે કામ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે પક્ષમાં આંતરિક જૂથવાદ સામે લાલ આંખ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો પેનલના કોઈ પણ ઉમેદવારની હારનું કારણ પક્ષનો જ કોઈ ઉમેદવાર કે કાર્યકર બનશે, તો ભવિષ્યમાં તેને પક્ષમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં. આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જાહેર સ્થળે સાધારણ સભા યોજાશેવધુમાં તેમણે વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા સૂચન કર્યું હતું કે, જો મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર આવશે તો મહેસાણાના નાગરિકોની હાજરીમાં જાહેર સ્થળે સાધારણ સભા યોજવામાં આવશે જેથી જનતાના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવી શકાય. આ પ્રસંગે તેમણે મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકસભામાં મહિલા અનામત બિલનો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે અત્યંત દયનીય છે. ભાજપ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ હોવાનો દાવો પણ તેમણે આ તકે કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર બસ સ્ટેન્ડ સામે લારીમાંથી લાશ મળી:અજાણ્યા શખસનો મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ
હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે એક લારીમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોએ આ અંગે ૧૦૮ અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે બસ સ્ટેન્ડ સામે રોડ કિનારે મૂકેલી એક લારીમાં આ અજાણ્યા શખ્સનો મૃતદેહ જોવા મળ્યો હતો. માહિતી મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ભિક્ષુક જેવો લાગતો હતો અને તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુરમાં ₹6.35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો જથ્થો પકડાયો
છોટા ઉદેપુર જિલ્લાના વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો ₹6,35,178/- નો વિદેશી દારૂ ઝડપાયો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂની આ ખેપ અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ટીમે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન કદવાલ તાલુકાના વસંતગઢ પાસેથી બે બાઇક પર 2085 બોટલ વિદેશી દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ જયંતીભાઈ વરસનભાઈ રાઠવા અને નીલેશ કેશરભાઈ રાઠવા (બંને રહે. વીરપુર, તા.જી. છોટા ઉદેપુર) તરીકે થઈ છે. પોલીસે વિદેશી દારૂ અને બાઇક સહિત કુલ ₹8,50,178/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અન્ય આઠ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં રાજકીય પારો ગરમાયો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપ કાર્યકર્તાએ મહિલા ઉમેદવારને ઘેર્યાઘટનાની વિગત મુજબ, લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચી ગયો હતો. તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે, આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો પણ છેલ્લા પાંચ વર્ષથી તમે ક્યાં ગાયબ હતા?. આ સવાલને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાએ તેમની દલીલ ફગાવી દીધી હતી. જય શ્રીરામના નારા સાથે વિરોધશાબ્દિક ટપાટપી બાદ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસની સભાની વચ્ચે જ ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાએ બૂમ પાડીને કહ્યું, એક જ શાહી, જય શ્રી રામ! તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ આ નારામાં સૂર પુરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓનો દાવો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે. ડોર-ટુ-ડોર પ્રચારમાં ઘર્ષણ વધતા તંત્ર એલર્ટસુરત મનપાની ચૂંટણીમાં અત્યારે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારો સંવેદનશીલ મનાય છે. મદનપુરાની આ ઘટના બાદ ચૂંટણી પંચ અને સ્થાનિક પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ભાજપ દ્વારા 'હિન્દુત્વ' અને 'વિકાસ'ના મુદ્દે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેની સામે કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નોને વાચા આપી રહી છે. જોકે, આ રીતે પ્રચાર દરમિયાન સામસામે આવી જવાની ઘટનાઓએ અન્ય ઉમેદવારોની ચિંતામાં પણ વધારો કર્યો છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વોર્ડમાં પણ આવા જ દ્રશ્યો સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સ્થાનિક મતદારોમાં મિશ્ર પ્રતિસાદમદનપુરાની આ બબાલ બાદ સ્થાનિક રહીશોમાં પણ બે ફાટા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ઠેરવી રહ્યા છે કે જનપ્રતિનિધિઓએ પાંચ વર્ષ જનતાની વચ્ચે રહેવું જોઈએ. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે કોઈ પણ પક્ષને પોતાનો પ્રચાર કરવાનો લોકશાહી ઢબે અધિકાર છે અને તેમાં નારાબાજી કરીને ખલેલ પહોંચાડવી એ અયોગ્ય છે. 'જય શ્રી રામ'ના નારાના સહારે મતદારોના ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ પણ લિંબાયતના ગલીઓમાં સંભળાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગામી મતદાન પર કેવી અસર પાડે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1Cનો ઘટાડો નોંધાયો છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવતીકાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહીહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. વરસાદની આગાહી મુજબ, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશેઃ અંબાલાલ પટેલહવામામ નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે 19, 20 અને 21 એપ્રિલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરિયો તોફાની બનવાની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. આગામી 26, 27, 28 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની આગાહી છે. રાજ્યમાં એપ્રિલના અંતમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આલશે, જેમાં 11થી 20 મેમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. 23 મે આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ફરી એક હલચલ જોવા મળશે.
અમેરિકા-ઇરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતની તારીખ નક્કી! શાંતિ મંત્રણા ફરી ઈસ્લામાબાદમાં
US-Iran Nuclear Talks in Islamabad: મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે શાંતિની આશાનું એક કિરણ દેખાયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલ અંગેની આગામી મંત્રણા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. સોમવારથી શરૂ થનારી આ વાતચીત સીઝફાયર પૂરો થાય તે પહેલાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ઇસ્લામાબાદ બનશે શાંતિનું કેન્દ્ર રિપોર્ટ્સ મુજબ, બંને દેશો વચ્ચે પડદા પાછળની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 11ના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાલિકાના સફાઈ ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર અને વધતા વેરા મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વોર્ડ નંબર 4ના ઉમેદવારો પટેલ વર્ષાબેન, પટેલ વિષ્ણુભાઈ, દરબાર વંદનાબેન અને વર્મા હર્ષદકુમારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. તેવી જ રીતે, વોર્ડ નંબર 11ના ઉમેદવારો અરુણાબેન મહેન્દ્રભાઈ પટેલ, આશાબેન ઘેમરભાઈ રબારી, ડી.એન. પટેલ અને ભવાનજી વરસાજી ઠાકોરના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ નગરપાલિકાના આર્થિક વહીવટ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જો ઘરમાં આવક બમણી થાય અને છતાં દેવું વધે, તો તેનો અર્થ કાં તો ચોરી થઈ રહી છે અથવા મેનેજમેન્ટમાં ખામી છે. પાટણ નગરપાલિકાની સ્થિતિ પણ આવી જ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પટેલે ખાસ કરીને માતરવાડીથી બોડીયા રોડ સુધીના હાઈવેની સફાઈ પાછળ દર વર્ષે થતા 47 લાખ રૂપિયાના ખર્ચનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આટલો ખર્ચ કરવા છતાં રોડ ક્યારેય સાફ દેખાતા નથી. પ્રજાના પૈસા અને બમણા કરાયેલા વેરાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્યએ પાટણના ઐતિહાસિક ગૌરવ 'પાટણની પ્રભુતા'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાટણનું ગૌરવ ત્યારે જ પરત આવી શકે જ્યારે તેના વહીવટદારો સ્વચ્છ અને પ્રામાણિક હોય. તેમણે વિરોધ પક્ષ પર ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટમાં ટકાવારી લેવાના આક્ષેપો કર્યા હતા અને મતદારોને ચૂંટણી સમયે નાણાંની વહેંચણી સામે સજાગ રહેવા ચેતવ્યા હતા. અંતમાં, તેમણે મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી જશે. તેથી, મતદારોએ સજાગ રહીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પ્રવેશ્યો છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ મેદાનમાં રહેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ગઈકાલના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે રાજ્યભરમાં રાજકીય ઘટનાક્રમોએ નવી દિશા પકડી હતી. બાયડમાં CMના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, રોડ માર્ગે પ્રવાસ ખેડ્યોઅરવલ્લીના સાઠંબા ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર હવામાં લેવાનો ઇનકાર કરતા મુખ્યમંત્રીએ સમય ગુમાવ્યા વગર સાબરકાંઠાનો તેમનો બાકીનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કર્યો હતો. હર્ષ સંઘવી વિરુદ્ધ મનોજ સોરઠીયાસુરતનું રાજકારણ અત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ગાજી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, “લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો છે, હવે બીજાનો વારો આવશે.” જેના વળતા જવાબમાં AAPના મનોજ સોરઠીયાએ ચીમકી આપી કે, “જો ભાજપ ‘ભૂપતવાળી’ (તોડજોડ) કરશે તો જનતા આ વખતે ‘વિસાવદરવાળી’ (હાર) કરાવશે.” સોગંદનામાનો વિવાદ: BA પહેલા MAની પદવી?સુરતના વોર્ડ નં.29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેના સોગંદનામાએ ભારે ચર્ચાઓ જગાવી છે. વિગતો મુજબ તેમણે 1997માં BA અને 1996માં MA પૂરું કર્યાનું દર્શાવ્યું છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સ કેવી રીતે થઈ શકે? એવા સવાલો સાથે વિપક્ષોએ ચૂંટણી તંત્ર પર સત્તાના દબાણ હેઠળ ફોર્મ મંજૂર કરવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ‘લોકશાહી બચાવો’ ધરણાં અને મોંઘવારીનો વિરોધચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે કોંગ્રેસે વડોદરા, સુરત અને જૂનાગઢ સહિત રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. રાજકોટમાં તો કોંગ્રેસ કાર્યાલયમાં ગેસના ભાવવધારાના વિરોધમાં દેશી ચૂલા સળગાવી રસોઈ બનાવી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ચૂંટણી જંગ હવે જામ્યો છે, ક્યાંક વાયદાઓની વર્ષા છે તો ક્યાંક વહીવટી વિસંગતતાઓના સવાલો. જનતા કોના પર કળશ ઢોળશે તે તો 26 એપ્રિલે જ ખબર પડશે.
તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી
Tamilnadu Accident 9 Died News: તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
CBSE:ધો.10ની બીજા તબક્કાની પરીક્ષા માટે 20 સુધી ફોર્મ ભરી શકાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026ની શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર કરતા ‘ટુ બોર્ડ એક્ઝામ સ્કીમ’ (બે બોર્ડ પરીક્ષાની પદ્ધતિ)નો અમલ શરૂ કરી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નબળું પ્રદર્શન કરી શક્યા છે, તેમને મે-2026માં યોજાનારી બીજી બોર્ડ પરીક્ષામાં પોતાના માર્કસ સુધારવાની સુવર્ણ તક મળશે. બોર્ડ દ્વારા આ માટે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ (LOC) ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેગ્યુલર ફીના પ્રથમ તબક્કામાં 16 એપ્રિલ (બપોરે 12 વાગ્યાથી)થી 20 એપ્રિલ (રાત્રે 12 વાગ્યા સુધી) ફી ભરી શકાશે. જ્યારે બીજા તબક્કામાં લેટ ફી સાથે 21 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. CBSEની ધો.10માં બીજી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન રહે તે માટે CBSEએ સ્પષ્ટ કર્યું છે કે, મે મહિનાની પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન એ જ રહેશે જે મુખ્ય પરીક્ષામાં હતો. આનાથી મૂલ્યાંકનમાં સમાનતા રહેશે અને વિદ્યાર્થીઓએ નવા ટોપિક્સ તૈયાર કરવાની જરૂર પડશે નહીં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ 3 વિષયોમાં પોતાનો સ્કોર સુધારી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ જણાવાયું છે કે, ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માન્ય ગણાશે નહીં. ફોર્મ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ ભરવું, ફી ભર્યા વગરનું ફોર્મ આપોઆપ રદ ગણાશે, લેટ ફી ભરવાથી બચવા માટે 20 એપ્રિલ પહેલા જ પ્રોસેસ પૂર્ણ કરી લેવી. ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેરબોર્ડે ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર 2024-25માં ‘કમ્પાઉન્ડમેન્ટ’ (પૂરક) શ્રેણીમાં આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ જે 2024-25માં પૂરક પરીક્ષામાં હતા, પરંતુ 2026ની મુખ્ય પરીક્ષામાં હાજર રહી શક્યા નહોતા. આ તમામ વિદ્યાર્થીઓને ‘થર્ડ ચાન્સ કમ્પાઉન્ડમેન્ટ કેટેગરી’ હેઠળ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે
ભાવનગરના ભંડારીયા ખાતે ઓજ સ્કુલના નવા બનતા બિલ્ડીંગની સાઇટ ઉપર એક શખ્સે રોફ જમાવ્યો હતો. સ્કુલના કર્મચારી પાસે જઇ બિલ્ડીંગ મટીરીયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી, ક્રમચારી પાસેથી પાંચ હજાર પડાવી લઇ ફરાર થયો હતો અને ફરી બિલ્ડીંગની સાઇટ ઉપર આવી તોડફોડ કરી, આતંક મચાવતા ઓજ સ્કુલના સાઇટ સુપરવાઇઝરે ભંડારીયાના શખ્સ વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ભંડારીયાના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ઓજ સ્કુલમાં સાઇડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સંદીપભાઇ દીપસંગભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભંડારીયા ખાતે ઓઝ સ્કુલના નવા બનતા બિલ્ડીંગ ઉપર જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ ધસી આવ્યો હતો. જે બાદ તેમના કર્મચારી મનીષભાઇ મહેતાને કહેલ કે, બિલ્ડીંગ બનાવવાનું તમામ મટીરીયલ અત્યાર સુધી જેની પાસેથી લીધેલ હોય એ વાંધો નથી પરંતુ હવેથી બધુ જ મટીરીયલ્સ મારી પાસેથી લેવાનું છે નહીં તો તમારી અને તમારી સાહેબોની ખેર નથી અને જો લેવું ના હોય તો દર મહીને પૈસા આપવા પડશે તેમ કહી, કર્મચારી પાસેથી પાંચ હજાર પડાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ ફરી બિલ્ડીંગના બે પ્લોટ ઉપર આવી, બિલ્ડીંગમાં સુતેલા મજુરોને ધમકાવ્યા હતા અને તોડફોડ કરી રૂા. 1,25,000નું નુકશાન કરી, રોફ જમાવી ફરાર થઇ જતાં સંદીપભાઇ ચૌહાણે જયપાલસિંહ ગોહિલ (રહે. ભંડારીયા) વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ભાવનગરના પાલિતાણામાં અખાત્રીજમાં મોટી સંખ્યાંમાં જૈન યાત્રાળુઓ વરસી તપના પારણા માટે આવે છે. ત્યારે અખાત્રીજ અગાઉ જ બે દિવસમાં બે લૂંટની ઘટના નોંધાતા યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ ફેલાઇ ગયો છે. શેત્રુંજી ડુંગર ઉપર જાત્રા કરી રહેલા તમીલનાડુના યાત્રીને કડવો અનુભવ થયો છે. ડુંગરા ઉપર ચાર જેટલા લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને યાત્રાળુને છરા બતાવી ગળામાં પહેરેલા ચેઇન આંચક્યો હતો અને ઝપાઝપી દરમિયાન ચેઇનના ત્રણ કટકા થઇ જતાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જે ઘટના બાદ પાલિતાણામાં ચકચાર મચી જતાં ભાવનગરથી મસમોટો પોલીસનો કાફલો ડુંગરા ઉપર ધસી ગયો હતો અને લુંટારૂઓને શોધવા ડુંગરા ખોળ્યા હતા. જે દરમિયાન ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પાલિતાણામાં અખાત્રીજના તહેવાર દરમિયાન અનેક જૈન શ્રધ્ધાળુઓ સમગ્ર દેશમાંથી ઊમટી પડે છે. આ વખતે અખાત્રીજના દિવસે પાલિતાણામાં સમગ્ર દેશમાંથી 600 જેટલા તપસ્વીઓને પારણા કરાવવા માટે 25 હજારથી વધુ શ્રધ્ધાળુઓની ઉમટી પડે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે આજે સવારના સુમારે તમીલનાડું ખાતે રહેતા દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન તેમના પરિવાર સાથે પાલિતાણા ખાતે આવ્યા હતા અને પરિવાર સાથે સવારના પાંચ વાગ્યે ડુંગર ઉપર જાત્રા શરૂ કરી હતી. જે વેળાએ જંગલ વિસ્તારમાંથી ચાર લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને દિનેશકુમારે ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી પરંતુ ઝપાઝપી દરમિયાન સોનાના ચેઇનના ત્રણ કટકા થઇ જતાં, લૂંટારૂઓ વીલા મોઢે ફરાર થઇ ગયા હતા. જે ઘટનાની જાણ પોલીસને થતાં ભાવનગરથી એલ.સી.બી. તેમજ અન્ય પોલીસ સ્ટાફ ધસી ગયો હતો અને લૂંટારૂઓને શોધવા માટે ડુંગરામાં લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી. જે મામલે ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. આ જ રસ્તે ગઇકાલે મહિલાને પણ લૂંટી લેવાઇ હતીશેત્રુંજી ડુંગર ઉપર યાત્રાળુને લૂંટી લેવાયા હતા. તે જ સ્થળથી પાંચસો મીટરના અંતરમાં ગઇકાલે એક મહિલા યાત્રાળુને પણ લૂંટી લેવામાં આવી હતી. જો કે, મહિલા યાત્રાળુઓએ ડરના મારે લૂંટારૂઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસમાં બે યાત્રાળુને લૂંટી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ આણંદજી કલ્યાણજી પેઢીની ઊંઘ ઊડી!તમિલનાડુંથી જાત્રા કરવા આવેલા યાત્રાળું સાથે પાલિતાણાના ડુંગરમાં લૂંટની નિષ્ફળ ઘટના બાદ આણંદજી કલ્યાણજી પેઢીની ઊંઘ ઊડી છે. ઘટના બાદ પેઢી દ્વારા એક લેટરપેટ જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં ગિરીરાજના મોટા રસ્તે તથા ઘેટીપાગ રસ્તે 36 સોલાર સી.સી.ટી.વી. કેમેરા લાગડવાનું શરૂ કર્યું છે તેમજ આ જ રસ્તે સિક્યુરીટી ગાર્ડ વધારશે.
વીજકાપ:ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં વીજકાપ
પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 22મી એપ્રિલ-2026 સુધી ત્રણ દિવસ જુદા-જુદા વિસ્તારોમાં વીજકાપ લદાયો છે. પી.જી.વી.સી.એલ.ની કામગીરી અનુસંધાને શ્રી સાંઈનાથ ફિડર અને મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચેના ક્રેસન્ટ સર્કલ, હિમાલયા મોલ સહિતના વિસ્તારોમાં કામગીરી દરમિયાન સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 6 કલાકનો વીજકાપ જાહેર કરાયો છે. શહેરમાં તા.20મી અપ્રિલને સોમવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ ચોક, ગીતાચોકથી મહિલા કોલેજ સુધીનો વિસ્તાર, ગેલેકસી-૭ ફ્લેટ, ડોન ચોક થી કેસેટ સર્કલ, ડોન ચોક થી ગીતા ચોક, કૃષ્ણ જૈન દેરાસર તેમજ આજુબાજુનો વિસ્તાર, ગીતા ચોક થી બોરડી ગેટ પોલિસ ચોકી સુધી નો વિસ્તાર, હિરામોતી ફ્લેટ, મન્નત હાઇટ્સ અને સકિના પાર્ક આજુબાજુના વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. ઉપરાંત તા.21મી અપ્રિલને મંગળવારે 11 કે.વી. શ્રી સાંઈનાથ ફિડર (આંશિક)માં મરામત કામગીરી દરમિયાન સાંઈબાબા મંદિર પાસેનો વિસ્તાર, લા-મીરા ફ્લેટ, આરાધના ફ્લેટ, કેસન્ટથી મેઘાણી સર્કલ, મેઘાણી સર્કલ, વિરભદ્ર અખાડો, સેનેટરીવાળો ખાંચો તેમજ આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તેમજ તા.22મી અપ્રિલને બુધવારે મોદી ઓર્ગેનાઈઝર ફિડર નીચે આવતા હિમાલયા મોલ, મેકસસ સિનેમા (એચ.ટી. કનેક્શન), રિલાયન્સ પ્રોગ્રેસિવ (એચ.ટી. કનેક્શન) મોદી ઓર્ગેનાઈઝર (એચ.ટી.કનેક્શન), એન્જિબિટર (એચ.ટી.), ક્રોમા (એચ.ટી), શેલ પેટ્રોલ પમ્પ, વિક્ટોરિયા હાઈટસ, વિક્ટોરિયા એમ્બસ, એક્સજોટીકા, પ્લાનેટ પેટ્રોલીયમ, ઇસ્કોન મેગા સિટિ, ગેટ નંબર-1 તેમજ આજુબાજુનો વિસ્તાર, હોટેલ સરોવર પોર્ટિકો, વિક્ટોરિયા બ્લીસ, ક્રુષ્ણ પાર્ક સોસાયટી આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. પી.જી.વી.સી.એલ. દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:રિક્ષાની બહાર નીકળેલી પટ્ટી કારમાં ઘૂસી જતાં મહિલાનું મોત
સિહોરના નેસડા ખાતે દિકરીના ઘરે રોકાવવા આવેલા સાસુ-સસરાને જમાઇ તેમની કારમાં પાલિતાણા મુકવા જતા હતા. જે દરમિયાન આગળ જતી લોડીંગ રિક્ષામાં ભારવાહક લોખંડની પટ્ટી કારનો કાર ફોડી ઘુસી ગઇ હતી અને આગળની સીટમાં બેસેલા મહિલાને લોખંડના પાઇપ ગંભીર રીતે વાગી જતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સિહોરના નેસડા ગામે રહેતા મનીષાબેન દુધરેજીયા તેમના માતા કૈલાસબેન અને પિતા હિમતરામભાઇને પોતાના સાસરે રોકાવવા માટે લઇ આવ્યા હતા. જે દરમિયાન આજે મનીષાબેનના પતિ અરવિંદભાઇ દુધરેજીયા તેમના સાસુ અને સસરાને કારમાં બેસાડી પાલિતાણા ખાતે તેમના ઘરે મુકવા જતા હતા. ત્યારે અરવિંદભાઇની કાર સુરકા ગામ નજીક પહોંચી હતી તે વેળાએ તેમની કારની આગળ એક લોડીંગ રીક્ષા જઇ રહી હતી અને રિક્ષાની પાછળ ગેરકાયદેસર રીતે લોખંડના પાઇપ મુકેલ હતા. તે વેળાએ રિક્ષાના ચાલકે અચાનક વળાંક વાળતા રિક્ષાની પાછળ રહેલ લોખંડના પાઇપ અરવિંદભાઇની કારનો કાચ ફોડી ઘુસી જતાં આગળની સીટમાં બેસેલા તેમના સાસુ કૈલાસબેનને લોખંડના પાઇપ ખૂંચી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી અને કૈલાસબેનનું ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. અક્સમાતની ઘટનાને લઇને ભરતભાઇ ગોંડલિયાએ લોડીંગ રીક્ષા નં. GJ 20 W 5948ના ચાલક વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વેધર રિપોર્ટ:ગરમી વધી, બપોરે તાપમાન 2.2 ડિગ્રી વધીને 39.2 ડિગ્રી થઇ ગયું
ભાવનગર શહેરમાં આજે તાપમાનમાં પુન: વધારો થયો છે અને મહત્તમ તાપમાનનો પારો વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરના સમયે ગરમી વધી હતી. સાથે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ બફારો વધ્યો હતો. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષેપ) અને પૂર્વ-પશ્ચિમ ટ્રફની સિસ્ટમ સક્રિય હોવાને કારણે આવતી કાલ તા.18મીએ ગરમીનો પારો યથાવત્ રહેશે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ 24 કલાક અગાઉ 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોર અને રાતના સમયે ગરમી અને બફારો વધી ગયા હતા. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા હતુ તે આજે સાંજે પણ 32 ટકા રહેતા બપોરે ગરમી સાથે બફારો ભળતા આખો બપોર ઉકળાટનો અનુભવ થયો હતો. શહેરમાં સવારે પવનની ઝડપ 6 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. તા.19 અને 20 એપ્રિલ દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
અલંગના શિપ રીસાયકલિંગ વ્યવસાયને લગત પડતર અને નડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્યના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હરિત શુક્લાની મુલાકાત દરમિયાન પ્રેઝન્ટેશન સાથે રજૂઆત કરી હતી. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના ઉપ-પ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે, પ્રિન્સિપલ સેક્રેટરીએ અલંગમાં આંતરરાષ્ટ્રી માપદંડ મુજબના હોંગકોંગ કન્વેન્શન મુજબ કામગીરી થઇ રહી હોવા અંગે રૂબરૂ નિહાળી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત દરેક પ્લોટમાં કામદારો માટે સલામતીના સાધનો અને વ્યવસ્થા ઉપલબ્ધ હોવા અંગે પણ કાર્યવાહીને બિરદાવી હતી. એસોસિએશન દ્વારા અલંગના સર્વાંગી વિકાસને અવરોધતા મુદ્દાઓ જેવા કે, જીએમબીની નવી પોલીસીમાં ફેરફાર, રેગ્યુલર એલપીજી સપ્યાલ આપવા, વેસ્ટ ડિસ્પોઝલ ચાર્જમાં કરવામાં આવેલા વધારાને નાબૂદ કરવા અને અન્ય પડત પ્રશ્નો અંગે પ્રિન્સિપલ સેક્રેટરીને રજૂઆત કરી હતી અને તેઓએ નિરાકરણ માટે આશ્વાસન આપ્યુ હતુ. મથાવડાના નવા પ્લોટ ઉપર દિગ્ગજોનો ડોળોમથાવડાના દરિયાકાંઠે જીએમબી દ્વારા નવા 9 શિપ બ્રેકિંગ પ્લોટનું નિર્માણ થવાનું છે તેના પર અલંગના દિગ્ગજ શિપ બ્રેકરો અને જૂથ દ્વારા કબજો જમાવી શકાય તેના અંગે સરકારના મંત્રીઓને પડખે ચડાવવાનું શરૂ કરાયુ છે.
એક-એક ઇન્વોઇસ ચેક કરવાની માથાકૂટનો અંત:GST કરદાતાઓ માટે મોટી રાહત IMS ઑફલાઇન ટૂલ લોન્ચ કરાઈ
દેશના લાખો જીએસટી કરદાતાઓ માટે રાહતના સમાચાર છે. જીએસટી પોર્ટલ દ્વારા તાજેતરમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ (IMS)ની ઓફલાઇન યુટિલિટી (વર્ઝન 1.0) લોન્ચ કરવામાં આવી છે. આ નવી સુવિધાનો મુખ્ય હેતુ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ડેટા પ્રોસેસિંગને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. આ નવી સુવિધા ખાસ કરીને મોટા પ્રમાણમાં ઈન્વોઇસ સંભાળતા વેપારીઓ, એકાઉન્ટન્ટ લોકોને ઉપયોગી બનશે. જીએસટી તળે IMS સિસ્ટમ 2024માં શરૂ કરવામાં આવી હતી, જેમાં કરદાતાઓ સપ્લાયરો દ્વારા અપલોડ કરાયેલા ઈન્વોઇસને સ્વીકારવા, નકારવા અથવા પેન્ડિંગ રાખવાની સુવિધા મળે છે. હવે નવી ઑફલાઇન યુટિલિટી ઉમેરાતા આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. આ યુટિલિટી દ્વારા કરદાતા ઈન્વોઇસને એક્સલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકે છે અને એક સાથે ઘણા ઈન્વોઇસ પર કાર્યવાહી કરી શકે છે. આથી એક-એક ઈન્વોઇસને અલગથી તપાસવાની જરૂરિયાત ઘટશે અને સમય બચશે. ઑફલાઇન ટૂલ દ્વારા બલ્ક એક્શન કરવાની સગવડ મળતા ભૂલોની શક્યતા ઘટે છે અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) દાવા વધુ ચોક્કસ બને છે. અગાઉ કરદાતાઓને પોર્ટલ પર મેન્યુઅલ પ્રક્રિયા કરવી પડતી હતી, જેથી સમય વધુ લાગતો અને ભૂલો થતી. હવે ઑફલાઇન ટૂલ દ્વારા ડેટા તૈયાર કરી પછી પોર્ટલ પર અપલોડ થાય છે, જેનાથી પ્રોસેસ વધુ સરળ બનશે. પોર્ટલ ધીમું હોય ત્યારે ઓફલાઇન વરદાન સમાનરિટર્ન ફાઇલિંગના અંતિમ દિવસોમાં જ્યારે જીએસટી પોર્ટલ ધીમું ચાલતું હોય, ત્યારે આ ઓફલાઇન ટૂલ વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કરદાતાઓ આ યુટિલિટી જીએસટીની સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ સેક્શનમાં જઈને મેળવી શકે છે. - ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ કરદાતાઓને થતા મુખ્ય ફાયદાજીએસટીમાં ઇન્વોઇસ મેનેજમેન્ટ સીસ્ટમ સાથે નવી ઓફલાઇન યુટિલિટી શરૂ કરવામાં આવતા સેંકડો ઇનવોઇસ ધરાવતા વેપારીઓએ હવે પોર્ટલ પર એક-એક ક્લિક કરવાની જરૂર નથી. તેઓ બલ્કમાં કામ કરી શકશે. નબળા ઇન્ટરનેટ જોડાણવાળા વિસ્તારોમાં પણ હવે જીએસટીનું કામ અટકશે નહીં. એક્સેલ ફોર્મેટ હોવાથી ડેટાને ફિલ્ટર કરવો અને આંતરિક રેકોર્ડ સાથે સરખાવવો સરળ બનશે, જેનાથી ભૂલની શક્યતા ઘટશે. આ સુવિધા એક્સેલ પર આધારિત હોવાથી સામાન્ય એકાઉન્ટન્ટ પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા આજ (ચાથી એપ્રિલ)થી શરૂ થઈ રહી છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટેની આ પ્રવેશ પ્રક્રિયામાં તા.4થી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે બેઠકોમાં ઘટાડો થતા 84 હજારથી વધુ બેઠકો છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે 17 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી પરંતુ હવે આરટીઇ હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરીને આ ફોર્મ તારીખ 23 એપ્રિલના ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે તેમ જણાવાયું છે. શહેરમાં 1125 બેઠકોની પ્રવેશ ક્ષમતા સામે 4000થી વધુ આજ દિવસ સુધીમાં ફોર્મ ભરાયા છે અને તારીખ વધારતા આ આંકડો વધીને 5000 પણ થઈ શકે. આ વર્ષે રાજ્યની 9709 ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો મુજબ 84,228 બેઠકો છે. જેમાં ગુજરાતી માધ્યમની 41411, અંગ્રેજી માધ્યમની 40262 અને હિન્દી માધ્યમની 2235 અને અન્ય માધ્યમની 320 બેઠકો છે. પાળી પદ્ધતિમાં ચાલતી 56 સ્કૂલો છે. સવાર-બપોર પાળીનો પણ વાલીને આ વર્ષે અલગથી વિકલ્પ મળશે. જેમાં વાલીની પસંદગી હશે પ્રવેશ ફાળવાયો હશે તેમાં જ સ્કૂલે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આરટીઈ હેઠળ કુલ 13 કેટેગરીના બાળકોને અગ્રતાક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે. https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી હવે 23મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. આ વર્ષથી વાલીની આવકની મર્યાદા રૂા. 6 લાખ કરવામાં આવી છે. અગાઉ આ આવક મર્યાદા રૂા.1 લાખથી દોઢ લાખ હતી જે ગત વર્ષથી વધારવામાં આવી છે. આ કારણોને લીધે પ્રવેશ માટે ભરાયેલા ફોર્મ રદ કરવામાં આવ્યા આ વર્ષે પ્રવેશ આપવાના અગ્રતા ક્રમમાં ફેરફાર : આવક મર્યાદા 6 લાખગત વર્ષે 11માં અગ્રતાક્રમે એસસી-એસટી તથા 12માં ક્રમે એસઈબીસી-અન્ય પછાત વર્ગના અને 13માં ક્રમે જનરલ કેટેગરીના બાળકો હતા. જ્યારે આંગણવાડીના બાળકોનો અગ્રતાક્રમ 9માં ક્રમે હતો. પરંતુ આ વર્ષે આંગણવાડીના બાળકોને 12માં ક્રમે એટલે કે ઈડબલ્યુએસથી પણ પાછળ મુકાયા છે. એસઈબીસી સાથે અન્ય પછાતવર્ગને બદલે ઈડબલ્યુએસનો સમાવેશ કરાયો છે. આ રીતે આરટીઈ અંતર્ગત પ્રવેશમાં અગ્રતા ક્રમમાં ફેરફાર કરાયો છે. વાલીની આવક મર્યાદા 6 લાખ કરાઈ છે. RTEમાં પ્રવેશ માટે કયા દસ્તાવેજો આપવા પડશેરહેઠાણનો પુરાવો, વાલીનુ જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ્સ, વાલીનું આવકનું પ્રમાણપત્ર, બીપીએલ-બાળકનું આધારકાર્ડ, વાલીનું આધારકાર્ડ. શહેરમાં ગત વર્ષની સ્થિતિ
સિટી એન્કર:11 કે.વી.ના 141 ફીડરોમાં નખાશે MVCC કેબલ
પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરાઈ રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં 11 કે.વી.ના 141 ઇલેક્ટ્રિક ફિડરોમાં MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લાના શહેરી ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં 440 કિ.મી.માં કામગીરી થઇ છે. MVCC કેબલની કામગીરીમાં ભાવનગર સર્કલમાં પ્રથમ તબક્કામાં ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અન્વયે ભાવનગર સિટી-1, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં 11 કે.વી.ના કુલ 22 ઇલેક્ટ્રિક ફિડરોમાં 225 કિ.મી. સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. તો પી.જી.વી.સી.એલ.ની સિસ્ટમ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ અન્વયે 70.79 કરોડના ખર્ચે 11 કે.વી.ના કુલ 57 ઇલેક્ટ્રિક ફિડરોમાં 1078 કિ.મી.માંથી 215 કિ.મીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સિટી એન્કર PGVCL ભાવનગર સર્કલમાં ડિવિઝન પ્રમાણે MVCC કેબલની કામગીરી
બિલ્ડરને ધમકી:ડિમોલિશનનો ડર બતાવી બિલ્ડર પાસે 2 લાખની ખંડણી માંગી 10 હજાર પડાવાયા
શહેરના લાલગેટ વિસ્તારમાં બાંધકામની સાઇટ પર તોડબાજો ફોટો પાડી પાલિકામાં ખોટી અરજી કરી બિલ્ડિંગનું ડિમોલીશન કરી દેવાની બિલ્ડરને ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી. બિલ્ડરે રૂપિયા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તી 10 હજારની રકમ પડાવી હતી. વારંવાર હેરાનગતિને કારણે બિલ્ડર રઈશ શેખે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તોડબાજ રિઝવાન અબ્દુલ રબ આઝાદ(રહે,આઝાદ મંજીલ, મુગલીસરા)ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. લાલગેટ માછલીપીઠ ખાતે બિલ્ડર નવી બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. આ બાંધકામ બાબતે તોડબાજો બિલ્ડરને કહ્યું કે તમે ખોટી રીતે બાંધકામ કરી બહુ પૈસા કમાયા છો, હવે તમારૂ બાંધકામનું ડિમોલીશન કરાવીને રહીશ, એમ કહીને 2 લાખની માંગણી કરી હતી. ત્યાર પછી તોડબાજો 11મી એપ્રિલે તેની બાંધકામની સાઇટ પર ગયો હતો. જ્યાં રૂપિયાની માંગણી કરી હતી. બિલ્ડરે આપવાની ના પાડતા સાઇડ પરથી લોખંડનો સળિયો લઈ મારવાની ધમકી આપી હતી. ડરને મારે બિલ્ડરે તે વખતે 10 હજારની રકમ આપી દીધી હતી. ત્યાર પછી બાકીની રકમ માટે બિલ્ડરને દબાણ કરતો હતો. આરોપીએ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે કેમ? તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
ભાસ્કર એનાલિસીસ:RTEમાં 9172 ભૂલકાંઓ પ્રવેશમાંથી બહાર શહેરનાં 4માંથી 2 ફોર્મમાં ઓલપાડનો દાખલો
આરટીઇમાં વાલીઓની ઉતાવળથી ભૂલકાઓ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ રહ્યા છે. આવકના દાખલામાં શહેરને બદલે ઓલપાડનો સિક્કો અને સબ-રજિસ્ટ્રાર વિનાના ભાડા કરારને કારણે 9,172 બાળકો પ્રવેશમાંથી બહાર ફેંકાયા છે. શહેરમાં 19% અને ગ્રામ્યમાં 34% ફોર્મ રિજેક્ટ થતા વાલીઓમાં ચિંતા વધી છે, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાલીઓના ડોક્યુમેન્ટ્સ તૈયાર ન હોવાથી તેમના બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. જેથી શિક્ષણ વિભાગે વાલીઓના હિતને જોતા ફોર્મ ભરવાની મુદત 23 એપ્રિલ કરી છે. હવે રજિસ્ટ્રેશન 40 હજારથી વધીને 55 હજારને પાર પહોંચી શકે છે. 25% ફોર્મમાં વાલીઓ સબ-રજિસ્ટ્રાર વિનાનો ભાડા કરાર આપી રહ્યા છે એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ40,356માંથી 9,172 ફોર્મ રદ થવા પાછળ વાલીઓની ટેકનિકલ ભૂલ બહાર આવી છે. 16,881 બેઠકો સામે 28,402 માન્ય અરજીઓ અને હજુ વધનારા ફોર્મ જોતા આગામી દિવસમાં એડમિશન મેળવવું હવે નસીબનો ખેલ જેવું બની ગયું છે. કામની વાત | આ કેસોથી જાણો કે વાલીઓ કઈ કઈ ભૂલ કરી રહ્યા છે આંકડાઓ પર એક નજર
ઉનાળાની રજાઓની શરૂઆત સાથે, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને રાહત આપવા અને ટ્રેનોમાં વધતી ભીડને નિયંત્રિત કરવા માટે ઉધના અને મધુબની (બિહાર) વચ્ચે ‘ઉનાળુ સ્પેશિયલ’ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલ્વે બોર્ડની મંજૂરી બાદ, આ ખાસ ટ્રેન આવતા રવિવારે કાર્યરત થવાનું છે. રેલ્વે દ્વારા એક સત્તાવાર નિવેદન અનુસાર, ટ્રેન નંબર 09067 (ઉધના-મધુબની સમર સ્પેશિયલ) દર રવિવારે સવારે 05:30 વાગ્યે ઉધનાથી ઉપડશે અને સોમવારે સાંજે 07:00 વાગ્યે મધુબની પહોંચશે. તેનાથી વિપરીત, તેની પરત યાત્રામાં, ટ્રેન નંબર 09068 (મધુબની-ઉધના સ્પેશિયલ) દર સોમવારે રાત્રે 08:00 વાગ્યે મધુબનીથી ઉપડશે અને બુધવારે સવારે 09:35 વાગ્યે ઉધના પહોંચશે. આ ખાસ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચથી બનેલી હશે, જે જનરલ કેટેગરીના મુસાફરોને નોંધપાત્ર રાહત આપશે. આ ટ્રેન કુલ 19 LHB કોચથી સજ્જ હશે, જેમાં 14 સ્લીપર ક્લાસ કોચ (અનરિઝર્વ્ડ), 3 જનરલ કોચ અને 2 ગાર્ડ-કમ-બ્રેક વાનનો સમાવેશ થશે. તેની મુસાફરી દરમિયાન, ટ્રેન નંદુરબાર, ઇટારસી, જબલપુર, કટની, સતના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, પટના, બરૌની અને સમસ્તીપુર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. રેલ્વે વહીવટીતંત્ર સ્ટેશનો પર આ ટ્રેન અંગે જાહેરાત પણ કરશે જેથી મહત્તમ મુસાફરો તેનો લાભ લઈ શકે. નોંધનીય છે કે દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન, ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે.
GJEPC (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ની બાયર-સેલર મીટમાં 6 દેશોના 17 ખરીદદારો જોડાયા હતા, જ્યારે સુરતની 16 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં રશિયા, યુએસએ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલમ્બિયા અને પોલેન્ડથી બાયરો ડાયમંડ અને જ્વેલરીની ખરીદી કરવા આવ્યા હતા. આ મીટમાં પહેલીવાર સ્ટડેડ ડાયમંડ જ્વેલરી નેચરલ અને લેબગ્રોન બંને પર ફોક્સ કરવામાં આવ્યું હતું. મીટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ્સ રહ્યું હતું. 13 અને 14 એપ્રિલ દરમિયાન દરેક વિદેશી બાયરને સીધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે દિવસમાં 8 ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી. દરેક મુલાકાત માટે લગભગ 45 મિનિટનો સમય ફાળવાયો હતો. વિઝિટ્સ માટે જિયોગ્રાફિકલ પ્લાનિંગ, કોઓર્ડિનેટર સિસ્ટમ અને સેન્ટ્રલ મોનીટરીંગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે નવો સ્કોપ‘આ મીટથી સ્પષ્ટ થાય છે કે સુરત હવે વેલ્યુ એડેડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ વૈશ્વિક સ્થાન મજબૂત કરી રહ્યું છે. ફેક્ટરી વિઝિટ મોડલથી ટ્રાન્સ્પરન્સી-ટ્રસ્ટ વધે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી મહત્વનું છે. આ ઇવેન્ટ સફળ મોડલ બની શકે છે, જેને ભવિષ્યમાં અન્ય ક્લસ્ટર્સમાં અમલમાં મૂકી શકાય.’ > જયંતી સાવલિયા, GJEPC, રિજિયનલ ચેરમેન
ઉધના ભાઠેના રોડ પર પાસે ગુરુવારે રાત્રે 11:55 વાગ્યે એક યુવકે મોબાઈલ ચોરીને ભાગતી વખતે ખાડીમાં ઝંપલાવ્યું હતું. ઉધના ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો. બહાર કાઢતી વખતે યુવકની હાલત ગંભીર હતી. વાત કરવાની સ્થિતિમાં ન હતો માત્ર ‘બચાવો-બચાવો’ બોલી રહ્યો હતો. ખાડીમાં જમા થયેલા કચરાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેની પ્રાથમિક ઓળખ જુનૈદ (30) તરીકે થઈ છે. આ ઘટનાની જાણ રામેશ્વર નગરના તુષાર રાણાએ ફાયર વિભાગને કરી હતી, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. યુવકને સ્મીમેર ખસેડાયો હતો. લિંબાયત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકને પકડાઈ જવાનો ડર હતો.
લિંબાયતના ઊંટવૈદના કેસમાં ચુકાદો:બિહારની ફેક ડિગ્રીથી હોમિયોપેથી સારવાર કરનાર ઠગને 3 વર્ષની સજા
18 વર્ષ અગાઉ લિંબાયતમાં બોગસ ડિગ્રીના આધારે હોમિયોપેથી ડોક્ટર બની ક્લિનિક ચલાવનાર આરોપી દેવનારાયણ પટેલને કોર્ટે ગુનેગાર ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, જો કોઈ લાયકાત ન ધરાવતો ઇસમ ડોક્ટર જેવા ગંભીર પ્રોફેશનમાં લોકોની સારવાર કરશે તો સમાજમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે. અભણ કે આર્થિક સ્થિતિ પણ સારી ન હોય તેવા લોકો આવા ઇસમો પાસેથી સારવાર લેતા હોય છે. આવા બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ વારંવાર ડ્રાઈવ ચલાવી તેમની સામે કાર્યવાહી કરે છે. લિંબાયત પોલીસે તપાસ કરતા આરોપી પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટરની લાયકાતવાળી ડિગ્રીઓ-સર્ટિફિકેટો બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટી, મુઝફ્ફરપુરની બોગસ ડિગ્રીઓ મેળવીને ક્લિનિક ખોલી લોકોની સારવાર શરૂ કરી દીધી હતી. 7 વર્ષ સુધીની સજાની જોગવાઈIPC-471 બનાવટી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરવા બાબતની છે. દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ખોટા હોવાનું જાણતા હોવા છતાં કપટપૂર્વક તેનો ઉપયોગ કરે તેને આ કલમ લાગુ પડે છે. ઉપરાંત 467 એ ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવવા બાબત છે, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
ઠગાઈ:SBIનો લોગો ચોંટાડી રૂ. 999માં નોંધણી, સ્પોર્ટ્સ કિટની લાલચ આપી ડુમસ મેરેથોનના નામે ઠગાઈ
સાઇબર માફિયાઓએ 19મીએ ડુમસમાં મેરેથોનના નામે નકલી ઈવેન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લિંકમાં SBIને સ્પોન્સર બતાવી 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન માંગવામાં આવતું હતું. જો કે બેંકની પરવાનગી વગર જ લોગોનો ઉપયોગ કરાયો હતો. SBIએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડુમસ બીચ ખાતે 10 કિમીની મેરેથોન યોજાનાર હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર લિંક વાયરલ કરાઈ હતી, જેમાં ભાગ લેનારાઓને 999 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. આ લિંકમાં સ્પોર્ટ્સ શૂઝ, ટી-શર્ટ, રિફ્રેશમેન્ટ, ગુડીઝ બેગ, મેડલ અને સર્ટિફિકેટ આપવાની લાલચ આપી હતી. આ સાથે જ ઇવેન્ટને પ્રતિષ્ઠિત બતાવવા SBIને મુખ્ય સ્પોન્સર તરીકે દર્શાવવામાં આવી હતી. જો કે, આ શંકાસ્પદ મામલો SBIના ધ્યાન પર આવતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. SBI દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે અજાણ્યા શખ્સોએ બેંકના લોગોનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે. બેંકના અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ‘આ મેરેથોન અંગે SBI તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે સ્પોન્સરશિપ આપવામાં આવી નથી. બેંકના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની આ યોજના હોઈ શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં, આ ઈવેન્ટ સાથે બેંકને કોઈ લેવાદેવા નથી અને આવા નકલી બેનર તથા લિંક્સથી લોકોએ સાવચેત રહેવું જોઈએ.’ ડોમેન પ્રોવાઈડરને જાણ કરાતાં લિંક બ્લોક કરી દેવાઈસોશિયલ મીડિયા પર કાર્યરત લિંકને હટાવવા અમે ડોમેન પ્રોવાઈડરને લેખિત જાણ કરી હતી, જેના પરિણામે હાલમાં આ લિંક બ્લોક કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મેરેથોનના નામે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય તેવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. > એમ.વી.પટેલ, પીઆઈ, ડુમસ પોલીસ સ્ટેશન
સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલાં પાર્ટી દ્વારા ઉમેદવારી પસંદગીમાં કામગીરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો હોઈ એ વાતને પણ નકારી શકાય એમ નથી. કારણકે ખાસ કરીને સમિતિઓના ચેરમેનના પ્રદર્શનના આધારે જો નિર્ણય લેવાયો એમ કહી શકાય. એટલે જ 12માંથી 7 ચેરમેનને ટિકિટ આપવામાં નહીં આવી હોય. નજર કરીએ સમિતિની મીટિંગની તો પાલિકાની 2021ની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ (12 માર્ચ 2021 થી 11 માર્ચ 2023) દરમિયાન 12 સમિતિઓએ મળીને કુલ 271 બેઠક યોજી હતી. જ્યારે બીજા અઢી વર્ષના ટર્મ (12 સપ્ટેમ્બર 2023 થી 11 માર્ચ 2026) દરમિયાન માત્ર 197 બેઠક યોજાઈ હતી. આ નોંધપાત્ર ઘટાડાએ વિકાસ કાર્યોની ગતિ પર સીધી અસર પાડી હોવાનું માનવામાં આવે છે. સમિતિઓની બેઠકોએ નીતિગત નિર્ણયો અને કામોની મંજૂરી માટે મહત્વપૂર્ણ હોય છે, જેથી તેની સંખ્યા ઓછી રહેવી એ કામગીરીમાં ઢીલાશ દર્શાવે છે. પાર્ટીએ આ વખતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફક્ત પદ પર રહેવું પૂરતું નથી, પરંતુ કામગીરીમાં સક્રિયતા અને પરિણામ આપવું પણ જરૂરી છે. અપવાદ એક જ, ઓછી મીટિંગ કરનાર નેન્સી શાહને ટિકિટ પાલિકાની સમિતિઓમાં સૌથી અગત્યની ગણાતી સ્થાયી સમિતિની બીજા ટર્મની કુલ મીટિંગ પહેલા ટર્મથી એક વધુ થઈ છે. સ્થાયી સમિતિની તા.12-3-2021 થી તા.8-9-2023 સુધી 135 મિટીંગ થઈ હતી.

31 C