SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

ભદ્રકાલી મંદિરે 12 દેશના કલાકારોની ગુંજ:પોલેન્ડથી દક્ષિણ આફ્રિકા સુધીના 250 કલાકારોએ લોકનૃત્યોથી અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદના ઐતિહાસિક ભદ્રકાલી મંદિરના પ્રાંગણમાં 'નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા - 2026' આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. ભદ્રકાલી મંદિર ખાતે પ્રસ્તુતિ પહેલા આ કલાકારોએ અટલ બ્રિજ પર પણ પોતાના કૌશલ્યના કામણ પાથર્યા હતા. વૈશ્વિક કલાકારોની અદભૂત પ્રસ્તુતિ આ કાર્યક્રમમાં પોલેન્ડ, મેક્સિકો, ઈજીપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગીસ્તાન અને સ્લોવેકિયાના કલાકારોએ પોતપોતાના દેશના પારંપરિક નૃત્ય અને સંગીત રજૂ કર્યા હતા. આ વૈશ્વિક કલાકારોની આગવી શૈલી અને સંગીતના લયે ઉપસ્થિત પ્રેક્ષકો તેમજ મહાનુભાવોના મન મોહી લીધા હતા. મહાનુભાવો દ્વારા કલાકારોનું સન્માન ઉત્સવની પૂર્ણાહુતિ પર મેયર પ્રતિભાબેન જૈન દ્વારા તમામ વિદેશી કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સામા પક્ષે વિદેશી કલાકારોએ પણ પોતાના દેશની ખાસ ભેટ આપી મેયર તેમજ આયોજક અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:25 pm

જૂનાગઢ 'મિની કુંભ'માં આવેલા સાધુઓના પીવાના પાણી માટે વલખા:ધુણા ધખાવતા સાધુઓ માટે પાણી અને શૌચાલયની વ્યવસ્થાનો અભાવ, વેચાતી બોટલો લેવા મજબૂર

જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મિની કુંભમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળાના આયોજનને લઈને તંત્ર મોટા-મોટા દાવાઓ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. મેળામાં ભાગ લેવા આવેલા સાધુ-સંતોએ અત્યારથી જ પાયાની સુવિધાઓના અભાવે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી સાધુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધુણી ધખાવતા સાધુઓના પીવાના પાણી માટે વલખાધુણો ધખાવી બેઠેલા ઓમકારપુરીએ જણાવ્યું હતું કે, શિવરાત્રીના મેળામાં સાધુઓ માટે 'ધુણો' અત્યંત પવિત્ર અને મહત્વનો હોય છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલા સાધુ-સંતોએ પોતાની ધુણી ધખાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં તેમને પીવા માટે શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. સાધુઓએ આક્ષેપ કર્યો છે કે મેળાના મેદાનમાં ક્યાંય પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલમાં સાધુઓએ 30 થી 40 રૂપિયા ખર્ચીને પાણીની બોટલો વેચાતી લેવી પડે છે. ગંભીર બાબત એ છે કે આ વેચાતી બોટલો પણ ઘણીવાર સીલપેક હોતી નથી, જે સાધુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. પ્લાસ્ટિક પ્રતિબંધ અને તંત્રની વિમાસણભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે શેરડીના કૂચામાંથી બનેલી બોટલો કે અન્ય પર્યાવરણ ફ્રેન્ડલી પેકિંગની વાતો કરવામાં આવે છે, પરંતુ કઈ બોટલ વેચવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અનિશ્ચિતતાનો ભોગ ભોળા સાધુઓ અને ભાવિકો બની રહ્યા છે, જેમને મનફાવે તેવા ભાવે પાણી ખરીદવું પડે છે. ચાર દિવસથી કોઈ વ્યવસ્થા નથીમુંબઈથી આહવાન અખાડાના રૂક્ષ્મણીગીરી માતાજીએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર દિવસથી અહીં આવી છું, પરંતુ તંત્ર દ્વારા સાધુઓ માટે કોઈ છાંયાની કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. સાધુઓ તડકામાં ધુણી ધખાવીને બેઠા છે. સરકાર આને 'મિની કુંભ' કહે છે, પણ સુવિધાઓના નામે મીંડું છે. જો સાધુઓને પાયાની સુવિધાઓ જ ન મળે તો આને વ્યવસ્થા કેમ કહેવાય ? શૌચાલયના અભાવે ગંદકી ફેલાવાની ભીતિસાધુઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર પાણી જ નહીં પણ યોગ્ય શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા સમયસર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સાધુઓને અને આવનારા લાખો ભાવિકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડશે, જેનાથી મેળામાં ગંદકી ફેલાશે. મિની કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે તંત્રની આવી બેદરકારી ગંભીર સાબિત થઈ શકે છે. તંત્રના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતરબીજી તરફ વહીવટી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મેળાના વિસ્તારમાં 140 સ્થળોએ પીવાના પાણીની પરબ અને 30 જેટલા પોઈન્ટ પર RO નું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. પરંતુ મેદાનમાં ઉતરેલા સાધુઓના મતે આ બધું માત્ર કાગળ પર છે. ધુણી સળગાવવા માટે લાકડાની કે રહેવાની કોઈ સુવિધા હજુ સુધી પૂરતી મળી નથી. હવે જોવાનું એ રહ્યું કે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના કુંભમેળા જેવી વ્યવસ્થાના દાવા કરતું જૂનાગઢનું તંત્ર સાધુઓની આ રજૂઆતને ગંભીરતાથી લે છે કે પછી આ વર્ષનો મેળો માત્ર 'સરકારી મેળો' બનીને રહી જશે. જો સાધુ-સંતો સંતુષ્ટ નહીં હોય તો મિની કુંભની ગરિમા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:03 pm

રાયગઢ વૈજનાથદાદા મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન:25 ફૂટ ઊંચા શિવલિંગ પર મહાકાલ દર્શન, ગુફામાં દશાવતારના દર્શન થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગામના યુવાનો અને કારીગરો દ્વારા 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે એક અનોખી ગુફાનું પણ નિર્માણ કરાયું છે, જેમાં ભક્તોને ભગવાન વિષ્ણુના દશાવતારના દર્શન થશે. આ ગુફા કંતાન, વાંસના બાંબુ, પીઓપી અને વિવિધ કલર સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. કારીગરો અને આર્કિટેક્ટ દ્વારા તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુફાના નિર્માણ માટે 21,250 કિલો પીઓપી, 500 વાંસ અને આશરે 3,500 મીટર કંતાનનો ઉપયોગ થયો છે. ગુફામાં ભગવાનના અવતારો ચણાના લોટ વડે બનાવવામાં આવી રહ્યા છે. આમાં દશાવતાર, મહાકાળી માતાજી અને ખાટુશ્યામ સહિતના વિવિધ સ્વરૂપોના દર્શન ભક્તોને થશે. શિવરાત્રિના દિવસે બ્રહ્મમુહૂર્તમાં આ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આયોજક અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે, વૈજનાથ દાદાના મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ વખતે પણ વૈજનાથ યુવક મંડળ દ્વારા અનોખું આયોજન કરાયું છે. કુદરતી ગુફા જેવું જ વાતાવરણ મંદિરના પ્રાંગણમાં ઊભું કરવામાં આવ્યું છે, જેનો લાભ ભક્તોને મહાશિવરાત્રિએ મળશે. રાયગઢ ગામના વૈજનાથદાદાના ભક્ત દિયા પંડ્યાએ જણાવ્યું હતું કે, વૈજનાથ દાદાના મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી હંમેશા અનોખી રીતે થાય છે. આ વખતે મહા ગુફા અને 25 ફૂટ ઊંચા મહાકાલની પ્રતિમા સાથે ચણાના લોટમાંથી બનેલા દશાવતારના દર્શન એકસાથે થશે. તેમણે ઉમેર્યું કે, વૈજનાથ દાદાના મંદિરે દર અમાસે ભક્તો આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:58 pm

14 વર્ષની યશસ્વી ચરકે કરાટે ચેમ્પિયનશિપ જીતી:રાજકોટમાં સિનિયર ખેલાડીઓને હરાવી ઇતિહાસ રચ્યો

રાજકોટ ખાતે યોજાયેલી Battle Beast Clash–2 કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની યશસ્વી ચરકે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. યશસ્વી રિલાયન્સ ટાઉનશીપ, જામનગરની રહેવાસી છે. આ સ્પર્ધા WWF-સ્ટાઈલ ફાઇટ્સ પર આધારિત હતી, જેમાં ગુજરાતભરના 18 વર્ષથી ઉપરના ટોચના 20 સિનિયર કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. માત્ર 14+ વર્ષની ઉંમર ધરાવતી યશસ્વી આ સ્પર્ધાની સૌથી નાની સ્પર્ધક હતી. યશસ્વીએ પોતાની અદમ્ય હિંમત, કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તમામ સિનિયર ખેલાડીઓને પરાજય આપ્યો. સ્પર્ધાના અંતિમ તબક્કામાં, તેણે પોતાથી લગભગ 10 વર્ષ મોટા અને ગુજરાતના ટોચના સિનિયર કરાટે ખેલાડીને હરાવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. યશસ્વીની આ અદ્વિતીય સફળતા બદલ પરિવારજનો, મિત્રો, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. આ સિદ્ધિ પાછળ તેમના કોચ શ્રી ઉમાકાંત સેનાપતિ અને ઉત્કલ કરાટે સ્કૂલનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. યશસ્વીની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ગુજરાતના કરાટે જગતમાં નવી ઊર્જાનો સંચાર કરશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:45 pm

ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં તંબોલી વ્યાખ્યાનમાળા યોજાઈ: ડૉ.વચ્છરાજાનીએ આપ્યું વક્તવ્ય:આર.ડી.ગાર્ડી મંડળ દ્વારા શિક્ષણના બદલાતા પ્રવાહ પર સંવાદ

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે 8 ફેબ્રુઆરીના રોજ એમ.એફ. તંબોલી વ્યાખ્યાનમાળા (મણકો-૩) યોજાઈ હતી. આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા આયોજિત આ શ્રેણી અંતર્ગત ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) નિમિતા મેહતાએ જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળા સંસ્થાના પૂર્વ પ્રમુખ, ફાઉન્ડ્રી ઉદ્યોગના અગ્રણી અને અનૌપચારિક શિક્ષણના હિમાયતી મનમોહનભાઈ એફ. તંબોલીની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી છે. જાણીતા શિક્ષણ મર્મજ્ઞ, સંશોધક, લેખક અને લોકપ્રિય વક્તા ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ રાજકોટથી આવી 'શિક્ષણ આજે અને આવતીકાલે' વિષય પર તેમની પ્રવાહી શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યનો મુખ્ય હેતુ આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સાથે છેલ્લા 100 વર્ષથી જોડાયેલા શિક્ષકોને આજના અને આવતીકાલના શિક્ષણ વચ્ચેના મુખ્ય તફાવતો સમજાવવા અને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો હતો. શિક્ષણના બદલાતા પ્રવાહ અને ભાવિ દિશા અંગે શિક્ષકો સાથેનો આ સંવાદ અત્યંત પ્રસ્તુત રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:44 pm

U-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ગુજ્જુ ખેલાડીનું અમદાવાદમાં સ્વાગત થશે:વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલના ઘરે ઉત્સવનો માહોલ, સેલિબ્રેશનની તડામાર તૈયારી

અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર ગુજરાતના બે તેજસ્વી ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલ, આજે 8 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. આ બંને વિજેતાને આવકારવા માટે તેમના પરિવારજનો અને રમતપ્રેમીઓ દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને વેદાંત ત્રિવેદીના ઘરે અત્યારથી જ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને સેલિબ્રેશનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે આ સફળતાએ સમગ્ર ગુજરાત અને પરિવાર માટે ગૌરવની ક્ષણ લાવી છે. ખિલન પટેલના સ્વાગતમાં મોડાસામાં કાર્યક્રમઅરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત યાત્રા મોડાસાના APMC સર્કલથી શરૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:43 pm

કોડીનારમાં પહેલીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ માટે લાંબી લાઈનો:મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ, ખોટી અરજી કરનાર 47 સામે કડક કાર્યવાહીની માગ

ગુજરાતમાં હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં એક ગંભીર વિવાદ સર્જાયો છે. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લઘુમતી સમાજના હજારો મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે ખોટી રીતે 'ફોર્મ-7' ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ કરાયો છે. ખોટી અરજી કરનાર 47 સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. 400થી વધુ લોકોની લેખિત રજૂઆતઆ મુદ્દે લઘુમતી સમાજના સેંકડો લોકોએ એકજૂથ થઈ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. કોડીનારના ઇતિહાસમાં પ્રથમ વખત લઘુમતી સમાજની ફરિયાદો માટે પોલીસ સ્ટેશનમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારના 400થી વધુ લોકોએ લેખિતમાં પોતાની રજૂઆત કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર વણારકાને રૂબરૂ કરી હતી. સમગ્ર વિવાદ શું છે ?સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, જે મતદારો હયાત છે, વર્ષોથી જે-તે ગામમાં જ વસવાટ કરે છે અને જેમણે ક્યારેય સ્થળાંતર કર્યું નથી, તેવા લોકોના નામ સામે અજાણી વ્યક્તિઓ દ્વારા ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે. 6,722થી વધુ મતદારો: આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ સામે ફોર્મ-7 (નામ કમી કરવા માટેનું ફોર્મ) ભરાયા હોવાનું સામે આવ્યું છે. 47 શંકાસ્પદ અરજદારો: ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 47 જેટલી વ્યક્તિઓએ જ આ હજારો ફોર્મ ભર્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગકોડીનાર મુસ્લિમ સમાજના અગ્રણી મહેંદી હસન નકવીએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગ કરી લઘુમતી સમાજના મતાધિકાર પર તરાપ મારવાનો આ પ્રયાસ છે. જે લોકો વાસ્તવિક રીતે ત્યાં જ વસે છે અને ખેતીની જમીન ધરાવે છે, તેમના નામ કઈ રીતે કમી થઈ શકે? અમે તંત્ર પાસે માત્ર નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરીએ છીએ. સુનિયોજિત કૌભાંડનો આક્ષેપલઘુમતી સમાજના આગેવાનોએ આ પ્રક્રિયાને વહીવટી ભૂલને બદલે એક 'સુનિયોજિત કૌભાંડ' ગણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે ચોક્કસ સમુદાયને મતદાનથી વંચિત રાખી તેમના બંધારણીય અધિકારો છીનવી લેવાનું આ ષડયંત્ર છે. સમાજની માગ ઉગ્ર આંદોલનની ચીમકીજો તંત્ર દ્વારા ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં આ મામલાએ સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થતા હવે વહીવટી તંત્ર આ બાબતે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:33 pm

ભક્તિની આડમાં બુટલેગરનો દારૂનો વેપલો:વડસર નજીક મંદિરની નજીક મીની ગોડાઉન બનાવી દારૂનો અડ્ડો શરૂ કર્યો, પોલીસે ત્રાટકીને 2.66 લાખની 470 બોટલો જપ્ત કરી

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાંતેજથી વડસર જતા રોડ પર ગીરનારી આશ્રમ પાછળ આવેલા એક ખેતરમાં મંદિરની આડમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી 2 લાખ 66 હજારથી વધુની કિંમતની 470 જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસની આ રેઇડ દરમિયાન મુખ્ય સૂત્રધાર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. મંદિરની આડમાં વિદેશી દારૂનો અડ્ડોગાંધીનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાંતેજ પોલીસે બાતમીના આધારે વડસર રોડ પર આવેલા એક ખેતરમાં રેઇડ પાડી વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મૂછાળ પોતાની ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગ માં નિકળ્યા હતા. કાચા છાપરામાં વિદેશી દારૂનો મોટો સ્ટોક હતોઆ દરમિયાન બાતમી મળી હતી કે સાંતેજ ગામના પેદાજી તરીકે ઓળખાતા કમલેશજી ભવાનજી ઠાકોરે પોતાના ખેતરમાં ગોગા મહારાજના મંદિરની સામે આવેલા કાચા છાપરામાં વિદેશી દારૂનો મોટો સ્ટોક ઉતાર્યો છે અને તે ત્યાંથી જ છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ બાતમીવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો. 470 પ્રીમિયમ દારૂની બોટલો જપ્તજોકે બુટલેગર સ્થળ પર હાજર નહોતો. બાદમાં પોલીસે કાચા છાપરામાં પ્રવેશ કરતા ખાખી રંગના બોક્સનો મોટો થપ્પો લાગેલો હતો. જેથી મોબાઈલ ફોનની લાઈટના અજવાળે પોલીસે એક પછી એક બોક્સ ખોલતા તેમાંથી પંજાબ અને રાજસ્થાનમાં વેચાણ માટે માન્ય હોય તેવી પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા 2 લાખ 66 હજારથી વધુની કિંમતની 470 જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:30 pm

'ભાજપના નેતાઓ-કોર્પોરેટરોનું મતદારોના હટાવવા ષડ્યંત્ર':વડોદરામાં નામ કમી કરવા 47,000 વાંધા ઉઠાવ્યા, રાષ્ટ્રદ્રોહનો કેસ કરો, કોંગ્રેસે એક બાદ એક પૂરાવાની લાઈન લગાવી દીધી

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે 'ઓપરેશન સરકાર ચોરી' શિર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજીને SIRની કામગીરીમાં ફોર્મ-7 ભરીને ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જેમાં ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. વડોદરા શહેરમાં 47,000 જેટલા વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક નેતાઓએ વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દેવેશ પટેલ નામના વ્યક્તિના 25 એપિક આઈડી આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે સીએન માછી નામના વ્યક્તિના 20 એપિક આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. એક વ્યક્તિના આટલા બધા એપિક(EPIC) કેવી રીતે હોઈ શકે તે તપાસનો વિષય છે. આ ઉપરાંત અનેક લોકો એવા છે, જેના એકથી વધારે એપીક આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યાકોંગ્રેસે કરેલા આક્ષેપમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. આ ઉપરાંત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા ઉઠાવ્યા છે. કોર્પોરેટર જાગૃતિ કાકા અને કોર્પોરેટર જ્યોતિ પટેલ સહિતના નેતાઓ સહિતના અનેક નેતાઓના નામ છે જેઓએ ખોટા વાંધા લીધા છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, SIRની પ્રક્રિયામાં ષડયંત્ર કરીને, છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપળાથી સાચા મતદારોના નામ ડીલીટ કરીને કોંગ્રેસની ચૂંટણીમાં હરાવવાનું કાવતરું રચ્યુ છે તેનો પર્દાફાશ અમે આજે કર્યો છે. ‘મહિલા મંત્રી સહિતના 5 વિધાનસભા વિસ્તારમાં ખોટું કામ કર્યું’વડોદરા શહેર વિધાનસભામાં ગુજરાત સરકારના મહિલા મંત્રી(મનીષા વકીલ)ના વિસ્તારમાં કોર્પોરેટરોએ ખોટા વાંધા લીધા છે. આ પ્રકારે વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં આ પ્રકારનું ખોટું કામ કર્યું છે અને 47 હજાર મતદારો સામે વાંધા લીધા છે. આ મામલે અમે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરને 10થી 12 વખત રજૂઆત કરી છે. આ ઉપરાંત લેખિતમાં આવેદનપત્રો પણ આપ્યા છે. તેમ છતાં આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી. ‘વડોદરા કલેક્ટર અમે આપેલા પુરાવાને ખોટા સાબિત કરી બતાવે’તેઓએ વધુમાં જણાવ્યું હતું, હું વડોદરા કલેકટરને ચેલેન્જ કરું છું કે, અમે આપેલા પુરાવાને ખોટા સાબિત કરી બતાવે. વડોદરાની જનતાને પણ ખબર પડી ગઈ છે કે ભાજપને વોટ ચોરી કરીને સત્તામાં આવવું છે. બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વોટ ચોરી કરીને ભાજપ સત્તામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે. આ બધા પુરાવા અમે શોધ્યા છે અને પોલીસ ફરિયાદ કરવા માટેના ફોર્મ પણ ભર્યા છે. તેમ છતાં કાર્યક્રમ કચેરી દ્વાર ખોટા વાંધા કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ‘એવું કહે છે કે તમે મતદાર છો એવું સાબિત કરો’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત દધીચ, વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિ કાકા અને કોર્પોરેટર જ્યોતિ પટેલ સહિતના નેતાઓ સહિતના અનેક નેતાઓના નામ છે જેઓએ ખોટા વાંધા લીધા છે. ભાજપના રાજમાં શંકરાચાર્ય ને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, એ સાબિત કરો, મતદારને એવું કહે છે કે તમે મતદાર છો એવું સાબિત કરો,. આ લોકોને સત્તાનું જે અભિમાન ચડ્યું છે એને અમે ઉતારીશું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:26 pm

પાવીજેતપુર પાસે દીપડાનો બાઇક સવાર માતા-પુત્ર પર હુમલો:યુવાનને ગંભીર ઇજા, વન વિભાગ કાર્યવાહીની લોકમાંગ

પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામ નજીક ખાંડિયા-અમાદર વળાંક પર મોડી રાત્રે દીપડાએ બાઇક સવાર માતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૩૨ વર્ષીય યુવાનના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી છે. પાવીજેતપુરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ ફુલસિંગભાઈ રાઠવા (ઉં.વ. ૩૨) અને તેમના માતા કીર્તિબેન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે ૯ વાગ્યાના સુમારે તેઓ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉમરવા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક પર દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાએ સીધો જીજ્ઞેશભાઈના ચહેરા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમનો પંજો યુવાનની દાઢીના ભાગે વાગ્યો હતો. હુમલાને લીધે જીજ્ઞેશભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો અને માતા-પુત્ર બંને રોડ પર પટકાયા. જીજ્ઞેશભાઈને દાઢીના ભાગે ઊંડો ઘા પડ્યો હતો, જ્યારે કીર્તિબેનને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. હુમલા બાદ દીપડો અંધારામાં ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે બોડેલી ખસેડવામાં આવ્યા. રહેણાંક વિસ્તારો નજીક અને મુખ્ય માર્ગો પર વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓને કારણે પાવીજેતપુર પંથકના ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ વિસ્તારમાં પાંજરું ગોઠવી વન્ય પ્રાણીઓને પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:20 pm

ડમ્પરની બ્રેક ફેલ થતા કરણપુર પાસે અકસ્માત:10 વાહનોને નુકસાન, 7 લોકોને સામાન્ય ઈજા; પોલીસે કાર્યવાહી શરૂ કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ગાંભોઈ નેશનલ હાઈવે 48 પર કરણપુર ગામ પાસે બપોરના સમયે એક ડમ્પરની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાંભોઈથી હિંમતનગર તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે બચાવવાનો પ્રયાસ કરતા તે રોડ સાઈડમાં વળ્યું હતું. આ ઘટનામાં સામેથી આવતા અને રોડ પર પાર્ક કરેલા કુલ 10 જેટલા વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતમાં સાત લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ વિસ્તારમાં શ્રી અડસઠ બારીશ પ્રણામી વણકર સમાજ અને મોઢ સમાજના અગિયારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સ્થળોએ પાર્કિંગ ભરાઈ જવાને કારણે ઘણા વાહનો સર્વિસ રોડ અને નેશનલ હાઈવે પર આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI પી.એચ. ડોડીયાએ જણાવ્યું હતું કે, ડમ્પર ચાલકે પોલીસને કહ્યું કે તેની આગળ એક ઇકો કાર જઈ રહી હતી અને રોડ પર લોકો હતા. બ્રેક મારતા તે ફેલ થઈ ગઈ હતી. લોકો અને વાહનોને બચાવવા માટે તેણે ડમ્પરને ટર્ન માર્યો, જેના કારણે તે સામેના રોડ પર જઈને હિંમતનગર તરફથી આવતી એક કાર અને પીકઅપ ડાલા સાથે અથડાયું. ત્યારબાદ પાર્ક કરેલા વાહનો સાથે પણ ટકરાયું હતું. ચાલકે એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માત બાદ લોકોએ તેને માર માર્યો હતો. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર ચાલકને કસ્ટડીમાં લીધો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ચાલકે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:17 pm

પંચમહાલ પોલીસ વિભાગે નિવૃત્ત કર્મચારીઓ સાથે સંવાદ કર્યો:જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે અનુભવોનો લાભ લેવા બેઠક યોજાઈ

પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સન્માન અને તેમના અનુભવોનો લાભ લેવા માટે એક વિશેષ સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી આ બેઠક પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની અધ્યક્ષતામાં સંપન્ન થઈ. બેઠકની શરૂઆતમાં, ઉપસ્થિત તમામ નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો પરિચય મેળવવામાં આવ્યો હતો અને તેમની વર્ષોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. ડો. હરેશ દુધાતે નિવૃત્ત કર્મચારીઓને જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવવા અને સમાજલક્ષી કાર્યોમાં સક્રિય ભાગીદારી રાખવા પ્રોત્સાહિત કર્યા. આ બેઠકમાં, નિવૃત્ત કર્મચારીઓએ પોલીસ વિભાગમાં વિતાવેલા લાંબા સમયના અનુભવો દ્વારા વર્તમાન પોલીસ પરિવારને વધુ સુદૃઢ, કાર્યક્ષમ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ પોલીસ પરિવાર સાથે જોડી રાખવાનો હતો, જેથી તેમના બહોળા અનુભવનો લાભ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સામાજિક સુધારણામાં મળી શકે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:13 pm

પાટણનો 1281મો સ્થાપના દિવસ ઉજવાયો:મહાકાળી મંદિરથી શોભાયાત્રાને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું

પાટણ શહેરનો 1281મો સ્થાપના દિવસ રવિવારે મહાવદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં મહાકાળી માતાજીના મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઐતિહાસિક નગર પાટણના સ્થાપના દિવસની ઉજવણી પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ, રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે થઈ હતી. મહાકાળી માતાજીના મંદિર ખાતે પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત રાજપૂત સમાજના આગેવાનોએ કાલિકા માતાજીની આરતી ઉતારી હતી. મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરાવી હતી. આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીના મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પાટણ શહેરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના નગરસેવકો, રાજકીય પક્ષના અગ્રણીઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. શોભાયાત્રામાં નિશાન ડંકો, કુકડ ધ્વજ, ઘોડેસવારો, વિવિધ શાળાઓની ઝાંખીઓ, બે બગીઓ અને નગરપાલિકાની સ્વચ્છતાનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સિદી ધમાલ નૃત્યનું ગ્રુપ પણ જોડાયું હતું. કરણી સેનાના યુવાનો પણ વિશેષ પોશાકમાં અને વિવિધ ટેબ્લો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિના મુખ્ય કન્વીનર યતિનભાઈ ગાંધી, સહ કન્વીનર મદારસિંહ ગોહિલ, મુકેશભાઈ દે.સાઈ, મહાસુખભાઈ મોદી, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી અને જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીના અધિકારી બાબુભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:11 pm

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સામે છેતરપિંડીનો મામલો:સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપે કહ્યું: એમની સાથે અમારે કોઈ ધંધાકીય કે નાણાકીય વ્યવહાર નથી, અમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ છે

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા સહિત તેમના પરિવારના 5 સભ્યો સામે વડોદરાના વેપારી દર્શિત શાહે હરણી પોલીસ સ્ટેશનમાં રૂ. 3 કરોડની રોકાણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને આજે સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપે પ્રેસ કોન્ફરન્સ યોજીને એમને સુરેશ પાનસુરીયા સાથે કોઇ ધંધાકીય કનેકશન ન હોવાનું જણાવ્યું હતું. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, એસ.પી. ગ્રુપ અને અમારું સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને સંપૂર્ણપણે અલગ છે. એસ.પી. ગ્રુપનું નામ 'સિદ્ધેશ્વરાય ગ્રુપ' છે. અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. અમારે એસ.પી. ગ્રુપ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી. અમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ત્યાં દર્શિતભાઈના બે ફ્લેટ બુક કરાવેલા છે, એટલે અમે તેમને ઓળખીએ છીએ. તેઓના પૈસા કઢાવવા માટે અમારા નામનો કરાયો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 2010માં એક જ પ્રોજેક્ટમાં ભાગીદારી હતી. સુરેશ પાનસુરીયા અમારા પિતરાઈ ભાઈ છે, પરંતુ તેમની સાથે કોઈ ધંધાકીય કે નાણાકીય વ્યવહાર નથી. અમારા સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના લોગોના ખોટા ઉપયોગ બદલ નોટિસ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના અમિત નગર સર્કલ પાસે આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉંમર 42 વર્ષ)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023માં સુરેશભાઈએ હરણી સમા લિંક રોડ પર આવેલા 'શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ' અને 'શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ' પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે 1.5 ટકા માસિક વળતરની શરૂઆતમાં અને પછી 2 ટકા વળતરની ખાતરી આપી હતી તેમજ પ્રોપર્ટીની સિક્યોરિટી આપવાનું કહ્યું હતું. આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રકમના બદલામાં દર્શિતભાઈ અને તેમના પિતાના નામે કુલ 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા હતા. શરૂઆતમાં ફેબ્રુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી માસિક 1.5%થી 2% વળતર રોકડ/બેન્ક દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025થી વળતર બંધ થઈ ગયું. દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરતાં રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું હતું અને રૂપિયા પરત ચૂકવણીનો ભરોસો આપ્યો હતો પરંતુ, કોઈ રકમ મળી નહીં. દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની બીમારી થતાં સારવાર માટે રકમની જરૂર પડી હતી તો પણ રૂપિયા પરત કર્યા ન હતા. આ દરમિયાન આરોપીઓએ આપેલા ચેકો બેન્કમાં બાઉન્સ થયા હતા. સપ્ટેમ્બર, 2025માં ઓફિસમાં મળવા બોલાવી અસભ્ય વર્તન કરીને ધમકીઓ આપવામાં આવી કે, તમને અને તમારા પરિવારને જોઈ લઈશું, તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂપિયા મળવાના નથી. થાય એ કરી લો આ દરમિયાન પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલ્કતો પર બેંક લોન લેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોપીઓમાં સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, મનિષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા અને રવિભાઈ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)નો સમાવેશ થાય છે. હરણી પોલીસે આ ફરિયાદની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:59 pm

માતાની આંખો છલકાઈ, બહેનોએ છેલ્લી રાખડી બાંધી:સુરતમાં 'શેરૂ'ને બખીયા પરિવારે મનુષ્યની જેમ આપી અંતિમ વિદાય; માલિકના ખોળામાં જ શ્વાને અંતિમ શ્વાસ લીધા

સુરતમાં ડોગ લવરનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં સુરતના બખીયા પરિવારે તેમના લાડકવાયા શ્વાન 'શેરૂ'ના નિધન પર તેને મનુષ્યની જેમ સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી. માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લેનારા શેરૂના વિયોગમાં પરિવારની આંખો છલકાઈ આવી હતી અને બહેનોએ તેને છેલ્લી રાખડી બાંધી ભાવુક વિદાય આપી હતી. કહેવાય છે કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો પ્રેમ શબ્દોનો મહોતાજ નથી હોતો. સુરતના ભટાર વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે સાબિત કરી દીધું કે વફાદારી અને પ્રેમમાં પ્રાણી પણ પરિવારનો અવિભાજ્ય અંગ બની શકે છે. ભટારના બખીયા પરિવારે તેમના 11 વર્ષ જૂના સાથી અને પાલતુ શ્વાન 'શેરૂ' ના નિધન બાદ મનુષ્યની જેમ જ તેની અંતિમવિધિ કરી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે. 11 વર્ષનો અતૂટ સાથ અને 'શેરૂ' ની વફાદારીઆજથી 11 વર્ષ પહેલાં જર્મન શેફર્ડ બ્રીડનો માત્ર 10 દિવસનો નાનકડો 'શેરૂ' બખીયા પરિવારમાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેને પ્રાણી નહીં પણ ઘરના સભ્ય તરીકે અપનાવ્યો હતો. ધીરે ધીરે શેરૂ આખા પરિવારનો લાડકો બની ગયો. તેની લોકપ્રિયતા એટલી હતી કે આખી સોસાયટીમાં આ પરિવાર પોતાના નામથી નહીં, પણ શેરૂ વાળું ઘર તરીકે ઓળખાવા લાગ્યું હતું. ઠંડુ પાણી પીધા બાદ માલિકના ખોળામાં અંતિમ શ્વાસ લીધા ગતરોજ શેરૂએ પોતાની 11 વર્ષની સફર પૂર્ણ કરી. અંતિમ ક્ષણોમાં પણ શેરૂએ તેના માલિક પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો હતો. માલિકના હાથે ઠંડુ પાણી પીધા બાદ તેમના જ ખોળામાં શેરૂએ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હતો અને સભ્યોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. ચાર બહેનોનો એક ‘ભાઈ’, દર વર્ષે બહેનો શેરૂને રાખડી બાંધતી હતીબખીયા પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ છે, પરંતુ બહેનોએ હંમેશા શેરૂને પોતાનો બીજો ભાઈ માન્યો હતો. દર વર્ષે બહેનો શેરૂને રાખડી બાંધતી હતી. દીકરીઓ સાસરે ગયા પછી પણ પોતાના સગા ભાઈની સાથે શેરૂ માટે ખાસ રાખડી મોકલવાનું ચૂકતી નહોતી. શેરૂના નિધન બાદ મોટી દીકરીએ રડતી આંખે પોતાના નાના ભાઈ જેવા શેરૂને છેલ્લી રાખડી બાંધીને હૃદયસ્પર્શી વિદાય આપી હતી. પરિવારે મનુષ્યની જેમ આપી અંતિમ વિદાયપરિવારના સભ્યોએ નિર્ણય કર્યો કે શેરૂની વિદાય કોઈ સામાન્ય પ્રાણીની જેમ નહીં, પણ પરિવારના સભ્યની જેમ જ થવી જોઈએ. શેરૂના દેહને ફૂલહારથી સજાવવામાં આવ્યો હતો. પાડોશીઓ અને પરિવારજનોએ ભેગા મળીને ભગવાનનું નામ લેતા તેની અંતિમ યાત્રા કાઢી હતી. મનુષ્યની અંતિમવિધિમાં જે રીતે રીત-રિવાજો પાળવામાં આવે છે, તે જ રીતે ભાવપૂર્ણ રીતે શેરૂને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:45 pm

વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યસ્તરીય ઇનોવેટર્સ મીટઅપ:80 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા નવતર વિચારો

સરદાર પટેલ યુનિવર્સિટીના નવધારા (SSIP), સ્પસેક (SPSEC), વી.પી. સાયન્સ કોલેજ અને એસ.એમ. પટેલ હોમ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તથા KCG, ગાંધીનગરના સહયોગથી વલ્લભ વિદ્યાનગરમાં ‘બડિંગ ઇનોવેટર્સ મીટઅપ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 80 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના નવતર વિચારો અને મોડેલ્સ રજૂ કર્યા હતા. સીવીએમના ચેરમેન અને સીવીએમયુના પ્રમુખ ભીખુભાઈ પટેલ તથા એસપીયુના કુલપતિ પ્રો. નિરંજન પટેલે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા તેમજ નવીન વિચારોને સ્ટાર્ટઅપમાં ફેરવવા પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સત્રમાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલે વિજેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. આંતર-મહાવિદ્યાલય સ્પર્ધામાં આરોગ્ય, કૃષિ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સામાજિક કલ્યાણ અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. 20 જ્યુરી સભ્યોના પેનલ દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન બાદ કુલ 19 ટીમોને વિજેતા અને રનરઅપ તરીકે પુરસ્કૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નવધારાના ગ્રાન્ટી સ્ટાર્ટઅપ્સ દ્વારા એક પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં નવીન ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સમગ્ર આયોજન ડૉ. નિકુંજ ભટ્ટ, ડૉ. ભાવના ચૌહાણ અને પ્રો. સુનિલ ચાકીના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યું હતું. ડૉ. વિપુલ કટારિયા, ડૉ. મિનલ ચૌહાણ, નીરવ પટેલ અને પ્રિયા સોનીએ સુસંયોજનની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને સંશોધનની ભાવના મજબૂત બની હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:44 pm

ઇડરના મુડેટીમાં નવીન સંસ્કૃત પાઠશાળાની ત્રિદિવસીય શતચંડીયાગ સંપન્ન:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વેદના ઘન પાઠ કર્યા, ચંડી પાઠના હોમ સાથે પૂર્ણાહુતિ, 2 એપ્રિલે સમર્પણ

ઇડર તાલુકાના મુડેટી ખાતે આવેલ ઈશ્વરપુરા માર્ગ પરના ગોપીચંદની ગુફા પાછળના વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નવીન સંકુલમાં ત્રિદિવસીય વાસ્તુ શતચંડીયાગ મહોત્સવ યોજાયો હતો. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા આયોજિત આ મહોત્સવ 6 ફેબ્રુઆરી, શુક્રવારે શરૂ થઈ 8 ફેબ્રુઆરી, રવિવારે સંપન્ન થયો હતો. શતચંડીયજ્ઞના પ્રધાન હોમ અને ચંડીપાઠના હોમ સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. આ વાસ્તુકર્મનું આયોજન શ્રી યાજ્ઞવલ્ક મુડેટી પાઠશાળાના નવનિર્માણ નિમિત્તે કરાયું હતું. પાઠશાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વેદના ઘન પાઠ કર્યા હતા અને અનેક પૂજન પણ કરવામાં આવ્યા હતા. આ યજ્ઞ કર્મમાં આસપાસના ગામડાઓના લોકો પણ જોડાયા હતા, જેમાં પત્રાસાદન પૂજા અને વિશિષ્ટ રાજપચાર પૂજા પણ કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા એકસાથે સપ્તશતીના પાઠ કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રનું કલ્યાણ અને દિન-પ્રતિદિન દેશનો વિકાસ થાય તે હતો. નવીન સંકુલમાં વિદ્યાર્થીઓના રહેવા અને ભણવા માટે ક્લાસરૂમ તેમજ બહારથી આવતા મુલાકાતીઓ માટે વિશેષ અતિથિગૃહ પણ બનાવવામાં આવ્યા છે. યાજ્ઞવલ્ક પાઠશાળાના મુખ્ય ટ્રસ્ટીઓ અને ગુરુજીઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણ વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સહિત આ ત્રિદિવસીય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ અંગે ટ્રસ્ટી ડૉ. અશ્વિની શુક્લએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ એકર જમીનમાં નવીન વિદ્યાલય સંકુલ, ઋષિકુમાર છાત્રાલય, અન્નપૂર્ણા ભવન, પ્રાર્થનાસભા ભવન, યોગ ભવન, સાંસ્કૃતિક ભવન, જલ વ્યવસ્થા, શૈક્ષણિક કર્મચારી અને સહકર્મચારી નિવાસસ્થાન, તેમજ અતિથિ નિવાસનું નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યું કે, શિવશક્તિ સહિત દશ મહાવિદ્યા મંદિર અને યજ્ઞશાળાનું નિર્માણ આગામી સમયમાં થશે. મુડેટી ખાતે હાલમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ પ્રથમાથી આચાર્ય સુધીનો અભ્યાસ સંસ્કૃત પાઠશાળામાં કરે છે. આ નવીન પાઠશાળાના નિર્માણ માટે 2 એપ્રિલ, 2024 ના રોજ દ્વારકાપીઠાધીશ શંકરાચાર્યના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ, શંકરાચાર્યએ જ તેના સમર્પણ માટે કહ્યું હતું. આથી, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિના દિવસે પાઠશાળાનું સમર્પણ થશે અને નવા સત્રની શરૂઆત થશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:41 pm

મિલકત વેરામાં વ્યાજમાફીની શક્યતા:રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી મંગળવારે ફેરફારો સાથેનું ફાઇનલ બજેટ મંજુર કરશે, વધારાનો કરબોજ હટાવી નવી યોજનાઓ મુકાશે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, હવે સમગ્ર શહેરની નજર આગામી મંગળવાર પર ટકેલી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને મંગળવારે ફાઇનલ બજેટ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને આગામી મે માસમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે વર્તમાન શાસકો મતદારોને રીઝવવા માટે બજેટમાં મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. મહાપાલિકાની કથળતી જતી આર્થિક સ્થિતિ અને લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે આ વખતે વ્યાજ માફીની યોજના (એમ્નેસ્ટી સ્કીમ) લાવવા માટેની હિલચાલ તેજ બની છે. છેલ્લા બે વર્ષથી અમલમાં રહેલી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમને ધાર્યો પ્રતિસાદ ન મળતા હવે શાસકો વ્યાજ માફીનું હથિયાર અજમાવી તિજોરી ભરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ઉપરાંત મ્યુ. કમિશ્નરે લાદેલો વધારાનો કરબોજ હટાવી લોકઉપયોગી નવી યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ચલાવવા અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ ટેક્સની આવક પૂરતી ન હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે મહાપાલિકાએ રૂ. 200 કરોડની લોન લેવી પડે તેવી નોબત આવી છે. ટેક્સ વિભાગ દ્વારા અગાઉ જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી, તેમાં આસામીઓએ ખાસ રસ દાખવ્યો નથી. આ સંજોગોમાં, જો વ્યાજ માફી જાહેર કરવામાં આવે તો મોટા પ્રમાણમાં જૂનો વેરો જમા થઈ શકે તેમ છે. અગાઉ 2018માં જ્યારે નોટબંધીના સમયે વ્યાજ માફીની સ્કીમ લાવવામાં આવી હતી, ત્યારે કોર્પોરેશનની તિજોરી છલકાઈ ગઈ હતી. આ ઈતિહાસને દોહરાવીને આર્થિક સ્થિતિ સધ્ધર કરવા અને ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માટે શાસકો મક્કમ દેખાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીનાં સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર આ વખતે વ્યાજ માફી માત્ર ફ્લેટ રેટ પર નહીં પરંતુ અલગ-અલગ સ્લેબ મુજબ આપવાનું આયોજન છે. જેમાં નાના કરદાતાઓને વધુ ફાયદો થાય તેવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સંભવિત જાહેરાત મુજબ, જેમનો રૂ. 25000 સુધીનો વેરો બાકી છે તેમને 100 ટકા વ્યાજ માફી આપવામાં આવી શકે છે. જ્યારે રૂ. 25000 થી રૂ. 50000 સુધીના બાકીદારોને 50 ટકા, રૂ. 50000 થી રૂ. 100000 સુધીના બાકીદારોને 25 ટકા અને રૂ. 100000 થી વધુની બાકી રકમ પર 15 ટકા સુધીની વ્યાજ માફી મળવાની શક્યતા છે. આ સ્લેબ સિસ્ટમથી મધ્યમ અને ગરીબ વર્ગના કરદાતાઓ પરનો બોજ ઘટશે અને તેઓ મુખ્ય પ્રવાહમાં વેરો ભરતા થશે તેવી ગણતરી રાખવામાં આવી છે. સંભવિત વ્યાજ માફીનાં સ્લેબ ક્રમ બાકી વેરાની રકમ મળવાપાત્ર વ્યાજ માફી 1 0થી 25,000 વ્યાજ 100% માફી2 25થી 50000 વ્યાજ 50% માફી3 50,000થી 1 લાખ વ્યાજ 25% માફી4 1,00,000થી વધુ વ્યાજ 15% માફી મહત્વની વાત એ છે કે, આ વ્યાજ માફી યોજના નવા નાણાકીય વર્ષના પ્રારંભથી એટલે કે એપ્રિલ મહિનાથી જ અમલમાં મૂકવામાં આવી શકે છે. જેનો મુખ્ય હેતુ 'અર્લી બર્ડ સ્કીમ' સાથે સાંકળવાનો છે. જે કરદાતાઓ જૂનો વેરો વ્યાજ માફી સાથે ભરશે અને નવા વર્ષનો વેરો એપ્રિલ કે મે માસમાં એડવાન્સ ભરશે, તેમને વ્યાજ માફીની સાથે નવા વેરામાં પણ 10 થી 15 ટકા વળતરનો બેવડો લાભ મળી શકે છે. આ યોજના માત્ર એપ્રિલ અને મે એમ બે મહિના માટે મર્યાદિત રાખવા પણ વિચારણા છે જેથી ત્વરિત આવક ઉભી કરી શકાય. આ ઉપરાંત, મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા વધારાના કરબોજને પણ સ્ટેન્ડિંગ કમિટી ફગાવી શકે છે અથવા તેમાં મોટો ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકાએ અગાઉ 2011માં પણ વ્યાજ માફી આપી હતી અને ત્યારબાદ 2018માં સ્લેબવાઈઝ રાહત આપી હતી. 2020માં કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં રાહત આપવામાં આવી હતી, તેને ધ્યાને રાખીને રાજકોટના શાસકો આ વર્ષે મિલકત વેરાની સાથે વ્યવસાય વેરામાં પણ કોઈ રાહત જાહેર કરે છે કે કેમ તેના પર વેપારી આલમની મીટ મંડાયેલી છે. બજેટમાં નવી લોકઉપયોગી યોજનાઓ, ગ્રીન સિટી પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત સાથે આ એમ્નેસ્ટી સ્કીમ શાસક પક્ષ માટે ચૂંટણી જીતવાનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:36 pm

ગોધરામાં ગંદકી કરનારાઓ પર નજર:સાયન્સ કૉલેજ વિસ્તારમાં CCTV કેમેરા લાગ્યા; શહેરભરમાં કેમેરાની માગ

ગોધરા નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પહેલ કરી છે. નગરપાલિકા દ્વારા સાયન્સ કૉલેજ નજીકની સોસાયટીઓના વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા હતા. આ કેમેરા દ્વારા હવે જાહેરમાં કચરો નાખનારા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવશે. સીસીટીવી ફૂટેજના આધારે આવા લોકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને ગંદકી ફેલાવતા અટકાવવાનો છે. આ પહેલને પગલે શહેરના યુવા અગ્રણી ફરહાન ઝભાએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર અમુક વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના તમામ મુખ્ય માર્ગો અને અન્ય સોસાયટી વિસ્તારોમાં પણ CCTV કેમેરાનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. ફરહાન ઝભાના મતે, જો આખા ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો અને સોસાયટીના નાકે કેમેરા લગાવવામાં આવે, તો કચરો નાખનારાઓ પર રોક લગાવી શકાશે. આનાથી તંત્રને દેખરેખ રાખવામાં સરળતા રહેશે અને ગોધરા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બની શકશે. નગરપાલિકાના આ પગલાથી સ્થાનિક રહીશોમાં વર્ષોથી ચાલતી ગંદકીની સમસ્યાના કાયમી ઉકેલની આશા જાગી છે. આગામી સમયમાં પાલિકા આ કેમેરાનું નેટવર્ક આખા શહેરમાં કેટલું ઝડપથી વિસ્તારે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:26 pm

ખેડૂતને ખોટા કેસમાં ફસાવી ₹3.25 લાખ પડાવ્યા:નકલી પોલીસ બની અફીણ કેસની ધમકી આપી, બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

પાટણમાં નકલી પોલીસ બનીને એક ખેડૂત પાસેથી રૂ. 3.25 લાખ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને અફીણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પાટણના બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટણ શહેરની પાર્થ નગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વસંતભાઈ કાન્તીભાઇ પટેલ ગત 6 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના સંબંધી ગોવિંદભાઈ સાથે જમીન જોવા નીકળ્યા હતા. તેમની સાથે વામૈયા ગામનો બળદેવ ઠાકોર અને એક અજાણ્યો શખ્સ પણ હતો. પુનાસણ ગામ નજીક નદીના પુલ પાસે એક સફેદ રંગની નંબર વગરની ગાડીમાં આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વસંતભાઈનું એક્ટિવા રોકાવ્યું હતું. આ શખ્સોએ એક્ટિવાની ડેકી ખોલાવી તેમાંથી અફીણ જેવો પદાર્થ કાઢી વસંતભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કેસ પતાવવા માટે શરૂઆતમાં રૂ. 20 લાખની માંગણી કરી અને માર મારવાની ધમકી પણ આપી. ગભરાઈ ગયેલા વસંતભાઈએ તે સમયે પોતાની પાસે રહેલા રૂ. 25,000 આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વસંતભાઈને ગાડીમાં બેસાડી પાટણ રેલવે સ્ટેશન લાવ્યા હતા. અહીં વસંતભાઈએ પરિચિતો પાસેથી ઉછીના મેળવીને વધુ રૂ. 3 લાખ આપ્યા, આમ કુલ રૂ. 3,25,000 પડાવી લેવામાં આવ્યા. આ સમગ્ર કાવતરામાં વસંતભાઈ સાથે આવેલો બળદેવ ઠાકોર પણ સામેલ હોવાનું જણાઈ આવતા, વસંતભાઈએ બળદેવ ઠાકોર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે આ મામલે BNSS ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:09 pm

સુરતમાંથી વધુ એક સેક્સ રેકેટ ઝડપાયું:ગ્રાહકોને કોલગર્લના ફોટો અને હોટલનું લોકેશન મોકલતા, ડમી ગ્રાહક મોકલી પોલીસે ભાંડો ફોડ્યો

સુરતના પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી પાલ પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડયું હતું. ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો અને હોટલનું લોકેશન મોકલી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે ઓનલાઈન ગ્રાહકો સેટ કરનારા એક દલાલને ઝડપી પાડ્યો છે. જ્યારે યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો મળેલી બાતમીના આધારે પાલ પોલીસે એક દલાલનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે વ્હોટ્સએપ ઉપર વાત કરી એક યુવતીનો ફોટો મંગાવી તેની સાથે રૂ.7 હજાર ભાવ નક્કી કરી ડમી ગ્રાહકને શરીરસુખ માટે લોકેશન મોકલવા કહ્યું હતું. દલાલે પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલનું લોકેશન મોકલતા ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે રૂમમાં જતા પોલીસે રેઈડ કરી હતી. યુવતીને હોટલ પર મોકલનાર શખસની ધરપકડ, દલાલની શોધખોળપોલીસની તપાસમાં ત્યાં હાજર હોટલ મેનેજર અને માલિકની કોઈ સંડોવણી નહીં મળતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. પોલીસે ડમી ગ્રાહક સાથે મળેલી મુંબઈની 25 વર્ષીય યુવતીને બચાવી તેની પુછપરછ કરી તેની પાસેથી ચાર કોન્ડોમ અને રોકડા રૂ. 2 હજાર કબજે કર્યા હતા. પોલીસે યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણના કહેવાથી અહીં આવી હતી અને તેને દલાલે સંર્પક કરાવ્યો હતો. પાલ પોલીસે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને દલાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 7000 વસૂલતા હતાસાહિલ ઉર્ફે અયાન અને અજાણ્યો દલાલ બંને ગ્રાહકોને કોલગર્લના ફોટા મોકલીને ભાવતાલ નક્કી કરતા હતા. એ પછી હોટલનું મોબાઇલ ફોન પર લોકેશન મોકલતા હતા. દીઠ રૂ. 7000ની વસૂલાત કરીને આધુનિક ફુટણખાનું ચલાવવા હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:03 pm

ભરૂચમાં 906 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણને વેગ:બાળકો માટે આકર્ષક માળખું: 206 કામ પૂર્ણ, 164 પ્રગતિમાં

રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' ભરૂચ જિલ્લામાં ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોને અભ્યાસ, પોષણ અને બાળ-સ્નેહી વાતાવરણ પૂરું પાડવાના હેતુથી વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને 'આકર્ષક આંગણવાડી' તરીકે વિકસાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાળવણી સુનિશ્ચિત કરવા માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી 210 કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે. મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાંથી 134 કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળપતિ ઉત્કર્ષ યોજના, ડીએમએફ, 15મું નાણાપંચ, મનરેગા અને એટીવીટી સહિતની યોજનાઓ મારફતે 72 આંગણવાડીના કામો પ્રગતિમાં છે. સાથે જ, પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળમાંથી રૂ. 20 લાખના ખર્ચે 19 ભવનોના કામો ચાલી રહ્યા છે. નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને હવે સરકારી આંગણવાડીઓમાં પ્લે-સ્કૂલ જેવી સુવિધાઓ મળી રહી છે. આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધારેલા માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થતા વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે. આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત ન રહેતા બાળ વિકાસ, પોષણ અને મહિલા સશક્તિકરણને વેગ આપતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો હવે શિક્ષણ અને આરોગ્ય સેવાઓના કેન્દ્રબિંદુ તરીકે વિકસી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:03 pm

પાટણમાં રાજપૂત યુવા સંઘે 26મો વીરાંજલિ સમારોહ યોજ્યો:પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, સમાજ એકતા પર ભાર મુકાયો

પાટણ નગરના 1281મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 26મો વીરાંજલિ સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરની જૂની શિશુમંદિર શાળાના મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત દીકરીઓ અને દીકરાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ 26મા વીરાંજલિ સમારોહમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ અને સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રાજવી પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોના હસ્તે આ સન્માન કરાયું હતું. પ્રવચન આપતા રાજ રાજેશ્વર યોગીરાજ રુખડનાથજી બાપુએ ક્ષત્રિય (રાજપૂત) સમાજની એકતા અને ગૌરવશાળી ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાજપૂત સમાજે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં તેમણે સફળતા ન મેળવી હોય. બાપુએ 'અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ' દ્વારા છેલ્લા 26 વર્ષથી સમાજને એક તાંતણે બાંધવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જે સમાજ પોતાના પૂર્વજો અને ઇતિહાસને ભૂલી જાય છે અથવા એક થતો નથી, તેનો ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી સીમિત રહી જાય છે. રાજપૂતોનું એક સાથે આવવું એ આવનારી પેઢી માટે 'સુવર્ણકાળ' સમાન છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજનો ઇતિહાસ જાળવી રાખવો એ આપણી સૌની ફરજ છે. તેમણે ધર્મના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ધર્મ આપણી સાથે હશે તો દરેક કાર્યમાં સફળતા મળશે. તેમણે બાળકોને ભણાવવા અને પૈસા કમાવવા સાથે સમાજની શક્તિ અને ધર્મ જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોગીરાજ રુખડનાથજી બાપુ (ધીણોજ), પૂર્વ મંત્રી હકુભા જાડેજા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા, કીર્તિસિંહ વાઘેલા, બલભદ્રસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:01 pm

ઠાકોર સમાજના બંધારણના મુદ્દે સુરેન્દ્રનગરના દસાડામાં ચર્ચા:ગેનીબેન ઠાકોરે કહ્યું- પોલીસે બૂટલેગરોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ; બેઠકમાં વ્યસનમુક્તિ, કુરિવાજો અને ખોટા ખર્ચ પર ચર્ચા થઈ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા સ્થિત વેલનાથબાપાની જગ્યા ખાતે પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સંમેલનમાં પાટડી, દસાડા, શંખેશ્વર, માંડલ અને બેચરાજી સહિતના વિસ્તારોમાંથી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સામાજિક સુધારા પર ભારબેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બંધારણને મજબૂત બનાવવાનો અને પ્રવર્તતા કુરિવાજો નાબૂદ કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો: વ્યસનમુક્તિ: સમાજમાંથી દારૂ અને અન્ય નશાના દૂષણને દૂર કરવા માટે આહવાન કરવામાં આવ્યું. કરકસર: પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાડા બંધ કરી શિક્ષણ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા થઈ. સામાજિક બંધારણ: સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે નવા નિયમોના અમલીકરણ અંગે વિચારણા કરવામાં આવી. વાલેવડા પ્રકરણ અંગે નેતાઓની આક્રમક રજૂઆતઆ કાર્યક્રમ દરમિયાન વાલેવડા ગામમાં બનેલી દારૂ સંબંધિત એક ઘટનાનો મુદ્દો ગાજ્યો હતો. વાવ-થરાદના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિના નામે નિર્દોષ યુવાનો પર ખોટા કેસ ન કરવા જોઈએ અને પોલીસે બૂટલેગરોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. બીજી તરફ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા જણાવ્યું હતું કે, વાલેવડા પ્રકરણમાં જે નિર્દોષ લોકો સામે ખોટી ફરિયાદો થઈ છે તે તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ. વધુમાં તેમણે આ મામલે દસાડા પીઆઈ (PI)ની તાત્કાલિક બદલી કરવાની માગ પણ મંચ પરથી કરી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિઆ સંમેલનમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ પાટડી-દસાડા વિસ્તારના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની ઉન્નતિ અને એકતાના સંકલ્પો લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:53 pm

ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં વેપારી પર છરાથી હુમલાનો પ્રયાસ:દુકાન સામે થડો પાથરવા મુદ્દે માથાકૂટ સર્જાઈ, એક શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ભાવનગર ખાતેના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનની સામે બટેટાનો થડો પાથરવાના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થડો ધરાવતા ઈસમે વેપારી પર છરા સાથે હુમલો કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેપારી પર હુમલાનો પ્રયાસ કરાતા અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યોઆ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ચિત્રા માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ચંદન રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ચિત્રા માર્કેટ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા સવારના સમયે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતેની દુકાને શાકભાજીનો વેપાર કરવા માટે આવ્યા ત્યારે દુકાનની બહાર ચંદન રણજીતભાઈ નામનો શખ્સ બટેટા નો થડો પાથરીને બેઠો હતો, જેથી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ તેને દુકાનની સામેથી બટેટા લઈ લેવાનું કહેતા ચંદન રણજીતભાઈએ ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ ગાળો દીધી હતી, એટલું જ નહિ મારે અહિયા જ ધંધો કરવાનો છે અને તારે જે થાય તે કરી લે તેમ કહી છરો લઈને મારવા દોડ્યો હતો, જેથી આજુબાજુમાં ઉભેલા વેપારી મિત્રોએ વચ્ચે પડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, તેમજ બનાવ અંગે પોલીસને જાણ કરતા ચંદન રણજીતભાઈ ત્યાથી ભાગી ગયો હતો, અને જતા જતા ધમકી આપતો ગયો કે આજે તો રહી ગયો હવે બીજી વાર મળીશ તો જીવતો નહિ રહેવા દવ. જે બનાવ ના પગલે રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલિસે ચંદન રણજીતભાઈ નામના ઈસમ સામે BNS 352,351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વેપારીઓએ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માગ કરીમળતી માહિતી મુજબ આજે સવારે એક પરપ્રાંતીય કે જે ઘણા વર્ષોથી યાર્ડમાં ધંધો કરે છે. જે રાજેન્દ્રસિંહ જાડેજાની જગ્યામાં ઘૂસપેઠ કરતો હતો, જેના પગલે આજે રાજેન્દ્રસિંહે પોતાની જગ્યામાં બેસવા માટે ના પાડી હતી, જે બાબત ને લઈને ચંદન રણજીતભાઇ નામના શખ્સે ઉગ્ર થઈ જેમ તેમ બોલવા લાગ્યો હતો, જેની બે પાંચ મિનિટ પછી તે અચાનક છરી લઈને ધસી આવ્યો હતો અને રાજેન્દ્રસિંહ જાડેજાને મારવાની કોશિશ કરી હતી. એ સમયે આજુબાજુના વેપારી મિત્રોએ ચંદન રણજીતભાઈ નામના ઈસમને પકડી છરી મારતા અટકાવ્યો હતો. જેથી જતા જતા હજુ હું તને છોડીશ નહીં એવી ધમકી આપતો ગયો હતો. જે બાદ રાજેન્દ્રસિંહ જાડેજાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, હાલ વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે મીટીંગ બોલાવી ચેરમેન ને અરજી આપી રજૂઆત કરી છે. જેમાં વેપારીઓને જાનનું જોખમ હોય આવા પરપ્રાંતીયો યાર્ડમાં ન પ્રવેશે, તેમજ કોઈને હેરાન ન કરે, એ માટે શું મદદ થાય એવી યાર્ડ ખાતે રજુઆત સાથે અરજી કરી છે. માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માથાકૂટ સર્જાઈ હતીઆ બનાવ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે સવારના માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રભાઈની બાજુમાં જે પોતાનો માલ વેચતો હતો, માલ વેચાણમાં જગ્યામાં કંઈ નાની મોટી તકરાર થતા બોલાચારી થઈ હતી, અને બોલાચાલી બાદ સીધો હુમલો કરવા છરો લઈને મારવા આવ્યો હતો. પરંતુ સદનસીબે બીજા વેપારીઓ ત્યાં હાજર હોય, જેમણે ચંદનને પકડી લીધો હતો, અને કોઈ મોટી ઘટના ઘટતા પહેલા અટકી ગઈ છે. પરંતુ આ વિષયને લઈને શાકભાજીનો વેપાર કરતાં દરેક વેપારીઓમાં ખૂબ મોટો અસંતોષ અને રોષ ફેલાયો છે. જે હિસાબે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરી સાથે અત્યારે મીટીંગ બોલાવી છે, અને વારંવાર માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગની અંદર પરપ્રાંતિય લોકો દ્વારા આવા હિંસક હુમલાઓ થતા રહે છે, તો ફરી આવું દુષણ ન થાય એની રજૂઆત કરવા માટે શાકભાજીવાળા વેપારીઓ આવ્યા છે, અને તેની સાથે અત્યારે મીટીંગ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:40 pm

મહિલા પાસેથી 20 લાખ પડાવનાર બેની મુંબઈથી ધરપકડ:શેરબજારમાં મોટા નફાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવ્યાં, સુરત સાયબર સેલ દબોચી લાવી

શેરબજારમાં રાતોરાત અમીર બની જવાની લાલચ અને નકલી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતી ટોળકીઓ હાલ સોશિયલ મીડિયા પર માયાજાળ ફેલાવીને બેઠી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા આવી જ એક ટોળકીનો શિકાર બની હતી. જોકે, સુરત સાયબર ક્રાઈમ સેલે આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરતા આ કેસના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા અને મુંબઈથી બે રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઠગોએ મહિલાને શેરબજારમાં મોટા નફાની લાલચ આપીઆ અંગની મળતી માહિતી મુજબ, જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઠગબાજોએ 'niftystock.in' નામની એક નકલી વેબસાઈટ બનાવી તેને 'સેબી (SEBI) રજિસ્ટર્ડ' કંપની તરીકે ઓળખાવી હતી. આ ગેંગના સભ્યોએ 'વિજય સિંગ' અને 'અનીશ' તરીકે ખોટી ઓળખ આપી કોમલબેનનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ કોમલબેનને વિશ્વાસમાં લીધા હતા કે, જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે, તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને 'ફંડેડ એકાઉન્ટ' ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર કરી હતી. ટુકડે-ટુકડે 20 લાખથી વધુ પડાવ્યાશરૂઆતમાં નફાની લાલચમાં આવીને કોમલબેને વિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ વિવિધ પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂ. 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે કોમલબેને પોતાના નફાની રકમ કે મુદલ પરત માંગી ત્યારે આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનુ માલુમ થતાં તેમણે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી બે આરોપીની ધરપકડસુરત સાયબર ક્રાઈમ સેલના ડીસીપી બીશાખા જૈનની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, છેતરપિંડીના પૈસા મહારાષ્ટ્રના અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા થયા છે, જેના આધારે સુરત પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને બે શખસને દબોચી લેવામાં આવ્યા હતા. એક મુખ્ય સૂત્રધાર, 10 ટકા કમિશન પર બેંક ખાતા ભાડે લેતોપકડાયેલ આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ (ઉં.વ.25) તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના 2.67 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અજરોદ્દીન ખસિમ અજમેર જમાદાર (ઉં.વ.34) થાણેનો રહેવાસી આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસતા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ મેળવી, તે એકાઉન્ટ્સ સાયબર ઠગોને ભાડે આપતો હતો અને તેના બદલામાં 10 ટકા કમિશન મેળવતો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:39 pm

DDCET-2026 પરીક્ષા 26 એપ્રિલ યોજાશે:ધો.-12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ

રાજ્યની ટેકનિક્લ શિક્ષણ કમિશ્નરની કચેરી અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિપ્લોમા પછી સીધા બીજા વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા DDCET-2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. વિદ્યાર્થીઓ 30 માર્ચ 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ માટે ઉમેદવારે રૂ. 250 (નોન-રિફંડેબલ) રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. 36,212 બેઠકો પર પ્રવેશ મળશેઆ વર્ષે રાજ્યની 16 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 120 પ્રાઇવેટ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ મળીને આશરે 36,212 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે, જેમાં સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 2068 બેઠકોનો સમાવેશ થાય છે. DDCET-2026 પરીક્ષા કુલ 200 ગુણની રહેશે અને તેના માટે અઢી કલાકનો સમય ફાળવવામાં આવશે. એન્જિનિયરિંગમાં બે પેપર રહેશે. બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. જ્યારે ફાર્મસીમાં બે પેપર રહેશે. બેઝિક ઓફ ફાર્મસી અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશેઓનલાઈન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની જરૂર નથી, સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જરૂરી દસ્તાવેજમાં હાલના તબક્કે ઉમેદવારો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી અને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે. 26 એપ્રિલે ઓફલાઇન માધ્યમથી પરીક્ષાઅવેરનેસ કાર્યક્રમ જેમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે રાજ્યભરમાં ૫૨ જેટલા ઓફલાઈન અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ પરીક્ષા 26 એપ્રિલ 2026ના રોજ ઓફલાઇન માધ્યમથી લેવામાં આવશે. જેનું પરિણામ મે 2026માં પહેલા અથવા બીજા અઠવાડિયે ડિક્લેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:33 pm

SRP જવાને મહિલાની છેડતી કરી:ST બસમાં સવાર મહિલાએ 112 પર ફરિયાદ કરતા મોઢેરા પોલીસે ચાલુ બસમાંથી જ જવાનની ધરપકડ કરી

મહેસાણા જિલ્લામાં એસટી બસમાં સવાર મહિલાની એસઆરપી જવાન દ્વારા છેડતી કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે એસઆરપી જવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસટી બસમાં બાજુમાં બેસેલા SRP જવાને છેડતી કર્યાનો આરોપભોગ બનનાર મહિલા પોતાના સાસરેથી પિયર જવા માટે બસમાં નીકળી હતી.આ દરમિયાન તેની બાજુની સીટ પર બેઠેલા વિરમગામ F-20 SRP ગ્રુપના જવાન ગેનજી ઠાકોરે ચાલુ બસે મહિલાની છેડતી કરી હતી. જવાનની આ હરકતથી ગભરાવાને બદલે મહિલાએ હિંમત દાખવી તાત્કાલિક '112' નંબર પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ચાલુ બસમાંથી જ જવાનને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતા જ મોઢેરા પોલીસ એક્શનમાં આવી હતી. મોઢેરા પી.આઈ.એ ચાલુ બસમાંથી જ આરોપી જવાન ગેનજી ઠાકોરને દબોચી લીધો હતો. આ મામલે મહિલાની ફરિયાદના આધારે મોઢેરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાન દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:25 pm

ગોધરામાં કેન્સર જાગૃતિ માટે વોલ્કેથોન યોજાઈ:આરોગ્યમ હોસ્પિટલ દ્વારા આયોજન, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કર્યું

આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ગોધરા તાલુકાના નંદાપૂરા નજીક 'આરોગ્યમ વોલ્કેથોન–2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલ્કેથોનનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વોલ્કેથોનની શરૂઆત ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પરથી કરવામાં આવી હતી. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવીને તેને ફ્લેગ ઓફ કરી હતી. આ વોલ્કેથોન પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, રામસાગર તળાવ અને અટલબાગ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અંતે, તે ફરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. કાર્યક્રમ દરમિયાન, આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને તેની સારવારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:21 pm

બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી!:સુરેન્દ્રનગરના હરદીપ શુક્લા સામે ગુનો દાખલ કરવા લેખિત આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગરના હરદીપ શુક્લા દ્વારા ભારતીય સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના વિરોધમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા ગુનો દાખલ કરવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખારાપાટ યુવા વિકાસ પરિષદ, માંડલ, પાટડી અને વિરમગામના સંગઠને આ આવેદનપત્ર પાઠવીને હરદીપ શુક્લા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આવા મહાન વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરવી અયોગ્ય છે. ભવિષ્યમાં આવા મહાપુરુષોનું અપમાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:15 pm

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે’:ઈન્દ્રનીલ પક્ષને ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે; રાજકોટમાં પૂર્વ કોંગી કોર્પોરેટરનાં નિવેદનથી ખળભળાટ

રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા નગરસેવકના પતિ પ્રવીણ સોરાણીએ અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને 0 (ઝીરો) સીટ મળશે. સોરાણીના આ દાવાએ રાજકીય આલમમાં ભૂકંપ સર્જ્યો છે. પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડતા સોરાણીએ આક્ષેપ કર્યો છે કે શહેર કોંગ્રેસ હાલમાં માત્ર અમુક નેતાઓની પેઢી બની ગઈ છે અને પાયાના કાર્યકરોને હડધૂત કરવામાં આવી રહ્યા છે. આ નિવેદનના જવાબમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તેને પક્ષની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવીને કડક શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે. પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ મૂકીને શહેર કોંગ્રેસના સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ હાલમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલી રહી છે અને પક્ષને એક ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવી રહ્યો છે. સોરાણીએ પોસ્ટમાં લખ્યું છે કે, શહેર પ્રમુખ જ્યાં મિટિંગો બોલાવે છે ત્યાં જૂના, પીઢ અને પાયાના કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. તેમણે સીધું જ નિશાન સાધતા જણાવ્યું કે, જો શહેર પ્રમુખમાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો તેમણે તુરંત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે: પ્રવીણ સોરાણીપ્રવીણ સોરાણીએ મીડિયા સામે આવીને પણ પક્ષના વર્તમાન માળખા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યવાણી કરી છે કે જે રીતે હાલમાં શહેર કોંગ્રેસનું સંચાલન થઈ રહ્યું છે, તે જોતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષનો સફાયો થઈ જશે અને કોંગ્રેસના ફાળે માત્ર 0 (ઝીરો) સીટ આવશે. આ નિવેદન માત્ર એક ભવિષ્યવાણી નથી પરંતુ પક્ષના કાર્યકરોમાં વ્યાપેલી હતાશાનું પ્રતિબિંબ પણ માનવામાં આવે છે. ‘સંગઠન ચલાવવાની ક્ષમતા ન હોય તો પ્રમુખ રાજીનામું આપી દે’સોરાણીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને નિશાન બનાવતા કહ્યું કે, તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના અને પીઢ કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. જો પ્રમુખમાં સંગઠન ચલાવવાની કે કાર્યકરોને સાથે રાખવાની ક્ષમતા ન હોય, તો તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આ પ્રકારના આકરા નિવેદનોથી રાજકોટ કોંગ્રેસના બે ભાગલા પડી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ‘ઇન્દ્રનીલ રાજ્યગુરુ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે’આ વિવાદમાં માત્ર શહેર પ્રમુખ જ નહીં, પણ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ ઉછળ્યું છે. પ્રવીણ સોરાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલે છે અને તેઓ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે. સોરાણીએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના સૈનિક છીએ, કોઈ વ્યક્તિના માણસ નથી, પરંતુ હાલની કાર્યપદ્ધતિ પક્ષને વિનાશ તરફ લઈ જઈ રહી છે. ‘અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા’સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે સોરાણીએ પક્ષના કાર્યાલયને લઈને પણ જૂના ઘા ઉખેડ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે અતુલ રાજાણી જ્યારે પ્રમુખ હતા ત્યારે પણ કાર્યાલય બદલવાની માગ કરવામાં આવી હતી કારણ કે હાલનું કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની વ્યક્તિગત મિલકત છે અને ત્યાં સામાન્ય કાર્યકરોનું સન્માન જળવાતું નથી. જો રાજદીપસિંહ જાડેજા નવું કાર્યાલય ન બનાવી શકતા હોય તો તેમણે નૈતિકતાના ધોરણે સત્તા છોડવી જોઈએ. ‘મારી ટિકિટ કાપવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી’ચૂંટણીલક્ષી આક્ષેપો કરતા પ્રવીણ સોરાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં મારી ટિકિટ કાપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી છે. જોકે, તેમણે મક્કમતાથી કહ્યું કે તેઓ લડશે તો કોંગ્રેસમાંથી જ, પરંતુ જો પક્ષ તેમની અવગણના કરશે તો તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર નિર્ણય લેવા માટે મજબૂર થશે. તેમણે શહેર પ્રમુખને આડે હાથ લેતા કહ્યું કે કાર્યકરોની લાગણી સમજવાને બદલે સંગઠન માત્ર અમુક લોકોના ઈશારે જ નિર્ણયો લઈ રહ્યું છે. પ્રવીણ સોરાણીના આક્ષેપો પાયાવિહોણા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો ભાગ: રાજદીપસિંહ જાડેજાપ્રવીણ સોરાણીના આક્ષેપોનો શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જાડેજાએ જણાવ્યું કે, પ્રવીણ સોરાણી કદાચ ભાજપના નેતાઓ સાથે વધુ પડતી ઉઠક-બેઠક ધરાવતા હોવાથી તેમને કોંગ્રેસની હારના અને ઝીરો સીટના સપના આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોરાણી જે આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો એક ભાગ છે. આવી પક્ષવિરોધી પ્રવૃત્તિ કોઈ આગેવાન કે કાર્યકર કરે તે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમ મુજબ પ્રવીણભાઈ સામે પણ પગલાં લેવામાં આવશે. ‘એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી’કાર્યાલયના મુદ્દે જાડેજાએ સ્પષ્ટતા કરી કે, આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમજ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનાં અનેક નેતાઓ આ કાર્યાલયમાં આવી ચૂક્યા છે અને અહીં ઘણી મિટિંગો પણ થઈ છે. પ્રવીણભાઈ જેવા એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી. જે વાત તેમણે શીર્ષ નેતૃત્વને કરવી જોઈએ તે મીડિયા મારફત કરી શિસ્તભંગ કર્યો છે. પક્ષની શિસ્તનો ભંગ કરનાર અને જાહેરમાં પક્ષને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને જડબાતોડ જવાબ આપશે અને ઝીરો સીટની વાતો કરનારાઓને પ્રજા યોગ્ય જવાબ આપશે. કોંગ્રેસની આંતરિક લડાઈ શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચીઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોંગ્રેસની આ આંતરિક લડાઈ હવે શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. એક તરફ પક્ષના પાયાના કાર્યકર હોવાનો દાવો કરતા સોરાણી પક્ષના પતનની આગાહી કરી રહ્યા છે, તો બીજી તરફ સંગઠન તેમને શિસ્તના નામે બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા નેતાઓ પર થતા આક્ષેપો પક્ષ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ વિખવાદનો સીધો ફાયદો સત્તારૂઢ ભાજપને મળી શકે છે. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ નેતૃત્વ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તેનાં પર સૌની નજર છે. હાલ તો પ્રવીણ સોરાણીનું ઝીરો સીટ વાળું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:02 pm

હાઇકોર્ટના વકીલે દિલ્હીની ગેંગ સાથે ઉઁઝામાંથી 3 કરોડનું જીરું ચોર્યું:ગજબનું ષડ્યંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો, પોલીસને એક નંબર મળ્યો ને પિક્ચર પૂરું થયું

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા 3 કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13,14 અને 15ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે સાફ કરી દીધી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા ઊંઝામાં થયેલી રૂ 3.02 કરોડના જીરાની ચોરીનો મામલો હવે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો વળાંક લઈ રહ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં પરંતુ હાઈકોર્ટના વકીલ, દિલ્હીના ડુપ્લીકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રીઢા ગુનેગારોની એક ગેંગ હોવાનું મહેસાણા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલ્હીથી ઊંઝા સુધી રચાયું ષડયંત્રઆ ચોરીનું આયોજન અત્યંત શાતિર રીતે કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રહેતા વોન્ટેડ આરોપી ઈમરાન જમીલે પાટણના અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈકરામ મેમણનો સંપર્ક કર્યો હતો. ઈમરાનને ઉનાવા પાસેના ખોડીયાર એસ્ટેટના ગોડાઉનમાં રહેલા જીરાના જથ્થાની સચોટ માહિતી હતી. વકીલ ઈકરામનું કામ ચોરી કરવા માટે સ્થાનિક સ્તરે મજબૂત ટોળકી તૈયાર કરવાનું હતું. આ માટે તેણે સાદીક મેમણનો સંપર્ક કર્યો. જે અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલો હતો અને હાઈકોર્ટમાં કામકાજ અર્થે આવતો હોવાથી વકીલના સંપર્કમાં હતો. આ રીતે કાયદાનો જાણકાર જ આ ચોરીનો માસ્ટરમાઇન્ડ બન્યો હતો. ચોરી કરવા માટે આરોપી ઈમરાન જમીલે જે ચાવી બનાવવાનો એક્સપર્ટ છે. ગોડાઉનના તાળા જોઈ તેની ડુપ્લીકેટ ચાવીઓ તૈયાર કરી હતી. સ્થાનિક મદદ માટે આરોપી ગૌરવ પટેલને સામેલ કરાયો હતો, જેનું કામ પોલીસ કે અન્ય કોઈ હિલચાલ પર નજર રાખી ગેંગને સાવચેત કરવાનું હતું. ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલી, મજૂરો અને ટ્રકો લાવીને 8 થી 10 ફેરા કરીને કરોડોનું જીરું સાફ કરવામાં આવ્યું હતું. ચોરેલું જીરું ખેડૂત બનીને બજારોમાં વેચ્યુંચોરી કર્યા બાદ આરોપી વજાહત ખાન અને શાહનવાઝ ઉર્ફે ટીપુ ખેડૂત બનીને આ જીરું બજારમાં વેચવા જતા હતા. તેમણે ડીસાની એક પેઢીમાં રૂ 3200ના ભાવે અંદાજે 1 કરોડનું જીરું વેચ્યું હતું. આ ઉપરાંત ઊંઝા અને ચાણસ્મા પંથકમાં પણ ચોરીનો માલ વેચીને રોકડી કરી લેવામાં આવી હતી. આ ચોરીના નેટવર્કમાં જુમ્મા ખાન નામના શખ્સે ટ્રક અને મજૂરોની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદરસપ્રદ વાત એ છે કે આ ચોરીની ફરિયાદ નોંધાય તે પહેલા જ મહેસાણા એલ.સી.બી.ને એક શંકાસ્પદ નંબરની માહિતી મળી હતી જે ઊંઝામાં સસ્તા ભાવે જીરું વેચવા માટે સંપર્ક કરી રહ્યો હતો. ત્યારબાદ 4 જાન્યુઆરીએ જ્યારે ઉનાવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. સીસીટીવીમાં દેખાયેલી ટ્રકના ડ્રાઈવરની પૂછપરછમાં જુમ્મા ખાનનું નામ ખુલ્યું અને કડી દર કડી જોડાતા આખી ગેંગનો પર્દાફાશ થયો. મુદ્દામાલની રિકવરીપોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી 30 લાખ, વજાહત ખાન પાસેથી 9.50 લાખ, સાદીક મેમણ પાસેથી 5 લાખ અને ગૌરવ પટેલ પાસેથી 50 હજાર સહિતની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત 11.50 લાખની કિંમતની 110 બોરી જીરું પણ જપ્ત કરવામાં આવ્યું છે.હાલમાં પોલીસ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને શાહનવાજને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:01 pm

પ્રૌઢને સગા સાઢુભાઈએ દગો દીધો:રાજકોટમાં સોપારીના ધંધામાં નુકશાન થતા ખેતીની જમીન પર લોનના બહાને વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો, રૂ.1 કરોડની માંગણી થતા FIR

રાજકોટમાં પ્રૌઢને સગા સાઢુભાઈએ દગો દીધો હોવાની ઘટના સામે આવી છે. ખારચિયા ગામના રહેવાસી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભુવા પાસે સાઢુભાઈ સુરેશ તાલપરાએ સોપારીના ધંધામાં નુકસાન પહોંચ્યું હોવાથી નાણાંની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામની ખેતીની જમીન પર લોન લેવડાવી આપવા કહ્યુ હતુ અને તેના નાણા 6 માસમાં ભરી દેશે તેવી બાંયધરી આપી હતી. જોકે તે બાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ અન્યના નામે કરાવી નાખ્યા. જેથી પ્રૌઢે ખેતીની જમીન પરત માગતા વ્યાજ સહિત રૂ.1 કરોડની માંગણી કરવામાં આવતા પ્રૌઢે સાઢુભાઈ સહિત 4 શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગૂનો નોંધી છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના ખારચિયા ગામે રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા 55 વર્ષીય રમેશભાઇ ભુવાએ આજી ડેમ પોલીસ મથકમાં સુરેશભાઈ તાલપરા (ઉ.વ.45, ધંધો-મજુરી રહે.પિતૃ કૃપા મકાન, સીતારામ સોસાયટી શેરી નં.૩, મોરબી રોડ, રાજકોટ), અલ્પેશ દોંગા (રહે. આર.કે. વર્લ્ડ ટાવર, ત્રીજો માળ, શીતલ પાર્ક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ),ધર્મેન્દ્ર ઠેસીયા (ઉ.વ.50, ચાંદીકામ રહે.મારૂતીનગર-3 શેરી નં.1, કુવાડવા રોડ, રાજકોટ, મુળ- પાતા મેઘપર તા. કાલાવડ જી.જામનગર), પરસોતમભાઈ લુણાગરીયા (ઉ.વ.50, ચાંદીકામ, રહે.આર.કે. બંગ્લોઝ, બંગલો નં-સી, કુવાડવા રોડ, 80 ફુટ રોડ, રાજકોટ) તથા તપાસમાં ખુલે તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તા.21/04/2023 થી તા.02/05/2023 દરમિયાન સાઢુભાઈ સુરેશભાઇ તાલપરાને સોપારીના ધંધામાં નુકશાની થતા નાણાની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામે આવેલી ખેતીની જમીન પર લોન કરાવી આપવા કહ્યું હતું અને 6 માસમાં લોનના નાણા ભરી દેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ લોનના બહાને પીપરવાડી ખાતેની જમીનનો ધર્મેન્દ્ર ઠેસિયાના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી છેતરપિંડી કરી હતી. જે બાદ ફરિયાદી રમેશભાઈએ બેઠક પણ કરી હતી. તે વખતે જમીન ઉપર વ્યાજે લીધેલા રૂપીયાના વ્યાજ સહીત કુલ રૂ.1 કરોડની માંગણી કરવામાં આવી હતી અને જો વ્યાજ સહીત રૂપીયા નહી આપો તો જમીન ભુલી જવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે આઇ.પી.સી. કલમ 420, 120(બી) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનીયમ – 2011 ની કલમ 5,40,42 મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:27 pm

સુરત સાયબર ક્રાઈમની મોટી સફળતા:‘ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો, કોમ્પિટિટિવ એક્ઝામની કરે છે તૈયારી

આજના આધુનિક યુગમાં જેટલી ઝડપે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેટલી જ ઝડપે સાયબર અપરાધીઓ પણ સક્રિય થયા છે. નિર્દોષ નાગરિકો, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી ભયાનક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી વૃદ્ધોને માનસિક ત્રાસ આપી લૂંટતી આ ટોળકીના વધુ એક સાગરીત જીગ્નેશ શાહને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. શું હતી સમગ્ર ઘટના?આ ઘટનાની વિગત એવી છે કે, એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ (CBI) ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે ડરનું વાતાવરણ ઊભું કર્યું અને જણાવ્યું કે, “નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે.” આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. એટલે કે, તેમને સતત વીડિયો કોલ પર દેખરેખ હેઠળ રાખી કોઈને પણ જાણ ન કરવા દબાણ કર્યું હતું. આ માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મરણમૂડીમાંથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. કેવી રીતે બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા?પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જીગ્નેશ શાહ આ ગેંગ માટે ‘બેંક એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. ઠગબાજો જે રકમ પડાવતા, તે રકમ જીગ્નેશે પૂરા પાડેલા ખાતાઓમાં જમા થતી હતી, જેમાંથી તે પોતાનું કમિશન કાપી લેતો હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, “કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવો કોઈ કાયદેસરનો શબ્દ નથી, તે માત્ર ઠગાઈ કરવાની એક રીત છે. હાલ તો સુરત સાયબર ક્રાઈમ સેલ જીગ્નેશ શાહની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:24 pm

બેફામ બાઇક ચાલકે યુવકનો ભોગ લીધો:કોલવડા સોનીપુર રોડ પર મિત્ર સાથે વોકિંગમાં નીકળેલા યુવાનનું બાઇકની ટક્કરે મોત

ગાંધીનગરના કોલવડા ગામના ચામુંડાપુરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રિના સમયે જમીને ચાલવા નીકળ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલા એક મોટરસાઈકલ ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રણજીત પ્રજાપતિ નામના 27 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલીને જતા બે મિત્રોને અડફેટે લીધા હતાગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેફામ વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ કોલવડા ગામનો 27 વર્ષીય યુવક બન્યો છે.ગાંધીનગરના કોલવડાનો આનંદ અજમલજી ઠાકોર તેના મિત્ર રણજીત હરિભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રે આઠેક વાગે કોલવડાથી સોનીપુર રોડ પર ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઇક ચાલકે (નં.GJ27E4532) પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી બંને મિત્રોને પાછળથી અડફેટે લીધા હતા. રણજીત પર આખું બાઇક ચઢાવી દીધુંઆ ટક્કર એટલી જોરદાર હતી કે રણજીતભાઈ પર આખું બાઈક ચડી ગયું હતું. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા રણજીતને માથાના પાછળના ભાગે લોહી નીકળતું હોવાથી તે બેભાન થઈ ગયો હતો.જેના પગલે 108 એમ્બ્યુલન્સ થકી બંને મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓ થવાથી ફરજ પરના ડોક્ટરે રણજીતને મૃત જાહેર કર્યો હતો.આ અંગે આનંદ ઠાકોર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:16 pm

ભારત-મલેશિયા વચ્ચે સેમિકન્ડક્ટર-AI સહિત 6 ડીલ પર મહોર, PM મોદીએ કહ્યું- આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

Major Deals Signed Between India Malaysia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી. PM મોદી હાલ મલેશિયાના પ્રવાસે વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 1:11 pm

વસ્તડીના શખ્સનો રીક્ષામાં ભૂલાયેલો થેલો મળ્યો:નેત્રમની મદદથી સુરેન્દ્રનગર પોલીસે પરત કર્યો

સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના વસ્તડી ગામના ગોવિંદભાઈ ઈશ્વરભાઈનો રીક્ષામાં ભૂલાઈ ગયેલો થેલો 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી પરત કરવામાં આવ્યો છે. આ થેલામાં રૂ. 3,000ની કિંમતનો સામાન હતો.સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા 'નેત્રમ'ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવે છે. અરજદાર ગોવિંદભાઈ ઈશ્વરભાઈ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ ધ્રાંગધ્રાથી રીક્ષામાં બેસી સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે ઉતર્યા હતા. તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા.આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, 'નેત્રમ'ના સીસીટીવી કેમેરાની મદદથી ગોવિંદભાઈ જે રીક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01 TH-5325 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રીક્ષાચાલકનો સંપર્ક કરીને ગોવિંદભાઈનો થેલો તેમને પરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:42 pm

બોડેલી મેરેથોનમાં 15 હજાર દોડવીરોએ ભાગ લીધો:જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન, વિજેતાઓને રોકડ ઇનામ અપાયા

છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલી ખાતે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં દેશ-વિદેશના આશરે 15 હજાર દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડમાં 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ થતો હતો. મેરેથોનની શરૂઆત વહેલી સવારે લગભગ 6 વાગ્યે બોડેલી સેવા સદન નજીકના ગ્રાઉન્ડથી થઈ હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ફ્લેગ ઓફ કરીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1 કિલોમીટરની દોડમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 5-5 હજાર, 5 કિલોમીટરની દોડમાં રૂ. 11-11 હજાર અને 10 કિલોમીટરની દોડમાં રૂ. 25-25 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 50-50 હજારનું ઇનામ અપાયું હતું. આ મેરેથોનમાં એક 7 વર્ષીય બાળકીએ પણ 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે લગભગ ત્રણ કલાકમાં આ દોડ પૂરી કરી હતી. બાળકીના આ સાહસ બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:40 pm

મોરબીમાં બે અપમૃત્યુના બનાવ:કારખાનામાં લિફ્ટ પડતાં આધેડનું મોત, યુવાનને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના અપમૃત્યુ થયા છે. સોખડા ગામ પાસે એક કારખાનામાં લિફ્ટ પડતા 52 વર્ષીય આધેડનું મોત થયું હતું, જ્યારે ધુતારી વાડી વિસ્તારમાં 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલા સોખડા ગામ નજીક પીરવોન લેમિનેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ (ઉંમર 52) કારખાનામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર લિફ્ટ પડતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત લલનભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મોરબીના બાયપાસ રોડ પર નેક્સેસ સિનેમા સામેના ધુતારી વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉંમર 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ યુવાનનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:37 pm

કોડીનારમાં ભાજપનો યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો:કેન્દ્રીય બજેટ 2026 પર યુવાનો સાથે ચર્ચા, ભરત વાળાનું ઉદબોધન

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ 2026 પર યુવાનો સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી ભરતભાઈ વાળાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું કેન્દ્રીય બજેટ 2026 યુવા ભારતની આકાંક્ષાઓ પૂર્ણ કરનારું છે. આ બજેટ આવનારા વર્ષોમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મજબૂત પાયો નાખશે. વાળાએ વધુમાં જણાવ્યું કે, બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા, કૌશલ્ય વિકાસની નવી યોજનાઓ, સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન અને રોજગાર સર્જન માટેના નિર્ણયો યુવાનોને આત્મનિર્ભર બનાવશે. તેમણે યુવાનોમાં નવીન વિચારશક્તિ અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટેના બજેટ પ્રાવધાનોને દેશની આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને ખુલ્લા મનથી સંવાદ કર્યો હતો. યુવાનોમાં દેશના ભવિષ્ય પ્રત્યે આશા અને આત્મવિશ્વાસની ભાવના જોવા મળી હતી. શિક્ષણ, રોજગાર અને સ્ટાર્ટ-અપ અંગેની ચર્ચાએ યુવાનોને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, મહામંત્રી અનિલ જેઠવા સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, જેમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:33 pm

મોરબી નાગરિક બેંકના 6 ડિરેક્ટર માટે આજે મતદાન:મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મોડીરાત સુધીમાં પરિણામ જાહેર થશે

મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટર પદો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. કુલ 9 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બાકીના 6 પદો માટે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતાં નવી વરણી માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાં 6 સામાન્ય બેઠકો, 2 મહિલા અનામત બેઠકો અને 1 SC/ST અનામત બેઠકનો સમાવેશ થાય છે. મહિલા અનામત બેઠકો પર જ્યોતિબેન વિરાણી અને હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા બન્યા છે. જ્યારે SC/ST અનામત બેઠક પર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. સામાન્ય કેટેગરીની 6 ડિરેક્ટર બેઠકો માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો બે અલગ-અલગ પેનલમાંથી આવ્યા છે. મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટયાર્ડ ખાતે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી અધિકારી ડી.એમ. બાવરવા પાસેથી મળતી માહિતી મુજબ, કુલ 6,596 સભાસદો મતદાન કરીને 12 ઉમેદવારોમાંથી 6 ડિરેક્ટરોની પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ભાગ લેનાર તમામ 12 ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં બંને પેનલ જીત માટે સઘન પ્રયાસો કરી રહી છે. મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મતગણતરી આજે મોડી રાત સુધીમાં પૂર્ણ કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:30 pm

પિતાની નજર સામે પુત્રની હત્યા:સુરતમાં બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા-પુત્રને ચપ્પુના ઘા માર્યા, પિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શું હતી સમગ્ર ઘટના?અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજવાને બદલે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. પુત્રનું મોત, પિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છેઆ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતા તેઓ હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારે ગુમાવ્યો આધારસ્તંભમૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો (એક દીકરી અને એક દીકરો), વૃદ્ધ માતા-પિતા અને ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમર કેદની માગ કરી છે. પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરીજુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મારો ભાઈ સમજાવવા ગયો ને પાછળથી ચપ્પુ મારી દીધું: મૃતકનો ભાઈમોહમ્મદ અઝીમે (મૃતકનો ભાઈ) જણાવ્યું કે બાળકો-બાળકો વચ્ચેનો ઝઘડો હતો, તેમાં મારો ભાઈ સમજાવવા ગયો હતો. એટલી જ વારમાં તે લોકોએ પાછળથી તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ મારા પપ્પા પણ વાતચીત કરવા અને મામલો થાળે પાડવા ગયા હતા, પરંતુ મારા પપ્પાને પણ પાછળ કમરના ભાગે ચપ્પુ માર્યું છે. મારવાવાળા ત્યાંના મૌલાના આઝાદ છે, સદ્દામ છે, સિરાજ છે અને બીજો એક છે જેનું નામ મને ખબર નથી. એમ કુલ ચાર જણા હતા. ‘આરોપીઓને કડકમાં કડક સજા થાય’ફરીદભાઈ ત્યાં રિક્ષા ચલાવતા હતા. રિક્ષા ચલાવીને ધંધા પરથી ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં ઝઘડો થયો છે. તો મારો ભાઈ ખાલી વાત કરવા ગયો હતો કે મામલો પતી જાય, પણ તે લોકોએ પાછળથી વાર કરી દીધો. તેમની સજા એવી હોવી જોઈએ કે તેમના બંને ઘૂંટણ સુધીના પગ કાપી નાખવા જોઈએ. તેમને લાવારિસ ભિખારી બનાવી દો જેથી તે સિગ્નલ પર ભીખ માંગવા લાયક રહી જાય. આ સાથે તેમણે ઉંમર કેદની સજા કરવામાં આવે. સામાન્ય બાબતનો ઝઘડો હતો: મૃતકના સંબંધીમૃતકના સંબંધી ભીખન મુન્શી શેખે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય બાબતનો ઝઘડો હતો, જે બાળકો-બાળકો વચ્ચે થયો હતો. આ ફરીદ નામનો છોકરો જેનું મૃત્યુ થયું છે તેમને સમજાવવા માટે ગયો હતો, પણ ત્યાં ચાર જણા હતા. જેમણે ભેગા મળીને તેને લાકડીઓ અને ચપ્પુના ઘા મારીને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તેના પરિવારની બે-ત્રણ મહિલાઓને પણ ઈજા થઈ છે. મામલો ઘણો ગંભીર બની ગયો હતો એટલે રાત્રે જ અમે તેને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. તેના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ‘પોલીસ અમને ન્યાય અપાવશે’આ ઘટના કોસાડ આવાસ, H1 બિલ્ડીંગ નંબર 50 પાસે બની હતી. હુમલો કરનારાઓમાં મૌલાના આઝાદ, સિરાજ, મુસ્તાકીમ અને સદ્દામ નામના ચાર ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર બાળકોના ઝઘડામાં સમજાવવા જવાની બાબતે આટલું મોટું પગલું ભરી લેવામાં આવ્યું છે. પોલીસ અત્યારે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને અમને પોલીસ પર પૂરો ભરોસો છે કે તેઓ અમને ન્યાય અપાવશે. આરોપીઓની ઉંમર કેદની સજા થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:23 pm

‘દર વર્ષે નવું પ્રપોઝલ આવે છે’, VIDEO:પ્રપોઝ કર્યું પૂછતાં જ છોકરીઓની સાથે છોકરાઓ પણ હરખાયા; જાણો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા

વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. આમ તો તમે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે પ્રપોઝ કરી શકો. પણ વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ અમદાવાદીઓને પૂછ્યું કે શું તમને કોઇએ પ્રપોઝ કર્યું?… તો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા છે તે જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:08 pm

ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર:ઈન્ડિગો રાજકોટથી દુબઈ, બેંગકોકની ફ્લાઇટ શરૂ કરવા તૈયાર પણ ઇમિગ્રેશન ક્લિયરન્સ ન મળ્યું

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના અઢી વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા બબ્બે વખત સર્વે થયા બાદ પણ ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ઈન્ડિગોએ રાજકોટથી દુબઈ અને બેંગકોક માટેની ફ્લેટ શરૂ કરવા તૈયારી બતાવવામાં આવી છે, ત્યારે ઇમિગ્રેશન ક્લિયરન્સને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઈન્ડીગો રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા તૈયાર આ દરમિયાન હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આશરે 26 જેટલી ડોમેસ્ટીક ફલાઈટોનું આવન-જાવન થઈ રહ્યું છે. રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયાને આશરે સવા બે વર્ષ થઈ ગયા હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. ત્યારે ઈન્ડીગો એરલાઈન્સ સાથે મૌખીક ચર્ચા થયા મુજબ તેઓ રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા માટે તૈયાર છે પરંતુ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે શક્ય બની રહ્યું નથી. સર્વે બાદ પણ ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલયની મંજૂરી નહિજ્યારે કસ્ટમ્સ કલીયરન્સની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમિગ્રેશનની સુવિધા માટે અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજીસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા છેલ્લા 9 માસ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા જે સૂચનો આપવામાં આવેલા હતા તે પ્રમાણે તમામ ફેરફારો પણ થઈ ગયા છે. તાજેતરમાં જ 3 માસ પહેલા આ જ કંપની દ્વારા બીજીવાર પણ સર્વે કરવામાં આવ્યો હતો અને તમામ વ્યવસ્થાઓ બરાબર હોવાનો અભિપ્રાય પણ આપ્યો છે, પરંતુ આજ દીન સુધી ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા મંજૂરી મળી નથી. અગાઉ ઈમીગ્રેશનની સુવિધા માટે રજૂઆતો કરાઈ હતીરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉડયનમંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ, રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલ, ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તાત્કાલીક અસરથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમીગ્રેશનની સુવિધા શરૂ કરાવાવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂ થાય અને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, આમ પ્રજાને ઈન્ટરનેશનલ ફલાઈટોની સુવિધાનો લાભ મળી રહે તેમ જણાવ્યુ હતુ. સૌરાષ્ટ્રના નજરાણા સમાન નિર્માણ પામેલ રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું 27 જુલાઈ, 2023ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતું. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને PMના નેતૃત્વમાં ઉદ્યોગો ખૂબ જ વેગવંતા બન્યા છે, ત્યારે રાજકોટ ખાતે 2.25 લાખથી વધુ MSME એકમો કાર્યરત હોય અને આયાત-નિકાસ પણ દિન પ્રતિનિધિ વધી રહ્યું છે. આ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર ઐતિહાસિક સ્થળોથી પથરાયેલું હોવાથી વિદેશીઓ સહિત અન્ય રાજયોના પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:02 pm

જામજોધપુરના કોટડા બાવીસીમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ:ખેડૂતોને કૃષિ નિષ્ણાતો દ્વારા પાંચ આયામનું વિસ્તૃત માર્ગદર્શન મળ્યું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી એક વિશેષ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તાલીમ દરમિયાન, કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવવામાં આવ્યા હતા. તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માહિતી આપી. આ ઉપરાંત, ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા. આ પદ્ધતિઓ અપનાવવાથી પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થઈ શકે તે વિશે પણ સમજાવવામાં આવ્યું. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ઊંડાણપૂર્વક સમજીને પોતાના ખેતરમાં તેનો અમલ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો. આ આયોજન દ્વારા ગ્રામ્ય સ્તરે ટકાઉ ખેતી અને પર્યાવરણની જાળવણીનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:00 pm

પંચમહાલમાં ડીજે વોર:વીડિયો વાઇરલ થતાં જ પોલીસે 2 DJ સિસ્ટમ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સંચાલકો પાસે મંગાવી માફી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં 'ડીજે વોર'નો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. શહેરા પોલીસે બંને ડીજે સિસ્ટમ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તેના સંચાલકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આ ઘટના ભુરખલ ગામમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન બની હતી. જેમાં બે અલગ-અલગ ડીજે સિસ્ટમ્સને સામસામે ગોઠવીને 'ડીજે વોર' સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા દરમિયાન કેટલાક યુવાનો ડીજે ટ્રકો પર જોખમી રીતે ચઢેલા જોવા મળ્યા હતા. યુવાનો દ્વારા જાહેરમાં અભદ્ર ઈશારાઓ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોટા અવાજે સંગીત વગાડીને જાહેર શાંતિનો ભંગ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ શહેરા પોલીસ સક્રિય બની હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અંકુર ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બંને ડીજે સિસ્ટમ અને વાહન મળી 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પોલીસે બંને ડીજે સંચાલકો પાસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. ભવિષ્યમાં આવા કૃત્યોનું પુનરાવર્તન ન થાય અને જાહેર શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 11:55 am

રાણીની વાવ ઉત્સવ શરૂ, બલરાજ શાસ્ત્રી, સીદી ધમાલ રજૂઆત:પાટણમાં બે દિવસીય કાર્યક્રમ, યુવાનોને સંસ્કૃતિથી વાકેફ કરવાનો ઉદ્દેશ્ય

પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય 'રાણીની વાવ ઉત્સવ'નો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયક બલરાજ શાસ્ત્રી અને તેમના કલાકારોના વૃંદ તેમજ સીદી ધમાલ નૃત્ય રજૂ કરાયા હતા. આ ઉત્સવનું આયોજન ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય સંસ્કૃતિ, લોકકલાઓ અને પાટણના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત કરાવવાનો છે. આ કાર્યક્રમ રવિવારે પાટણના 1281મા સ્થાપના દિવસ પૂર્વે યોજાયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે રાણીની વાવની મુલાકાત લીધી હતી. રાણીની વાવને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી હતી, જેનાથી વાતાવરણ મનમોહક બન્યું હતું. આ સંગીત સમારોહમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાણીની વાવ પાટણની અદભૂત ઓળખ છે અને ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. વર્ષો પહેલા જમીનમાં દટાઈ ગયેલી આ વાવને પુનર્જીવિત કરીને તેની પરંપરાગત જાળવણી અને ઉજવણી કરવામાં આવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય સંસ્કૃતિ, લોકકલાઓ અને પાટણના ગૌરવપૂર્ણ ઇતિહાસથી વાકેફ કરવાનો છે. પાટણ સ્થાપના દિન ઉત્સવ સમિતિ દ્વારા મંત્રીને રાણીની વાવ ખાતે લેસર શો ઝડપથી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 11:12 am

હોટલ હિલ્લોક નજીકનો ડિવાઇડર કટ ખોલાવવા ફરી લોકો રસ્તે ઉતર્યા:એસપી રિંગ રોડ પર સિગ્નેચર કેમ્પેઇન કરી દાદાગીરી નહીં ચલેગીના નારા લગાવ્યા; નરહરી અમીને બંધ કરાવ્યો હતો

ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે (8 ફેબ્રુઆરી)ના રોજ ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે. જેથી કટ ખોલાવવા માટે સ્થાનિક લોકો દ્વારા નરહરી અમીન અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 10:41 am

વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા:ગત મોડી સાંજથી સર્ચ ઓપરેશન, ડેમમાંથી પાણી બંધ કર્યુ; ખેરાલુના ચાડા ગામનો બનાવ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 75 વર્ષીય વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત(7 ફેબ્રુઆરી) બપોરના સમયથી બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળ્યાખેરાલુના ચાડા ગામના વતની આનંદીબેન મગનલાલ બારોટ (ઉં.વ. 75) ગત બપોરે ગામ પાસેથી પસાર થતી ધરોઈ કેનાલ પાસે ગયા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આસપાસના ખેતરમાં કામ કરતા લોકો અને પસાર થતા વિદ્યાર્થીઓએ વૃદ્ધાને કેનાલમાં પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ કેનાલ કાંઠે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળી આવ્યા હતા જેના પરથી તેઓ અહીં જ ડૂબ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ધરોઈ ડેમમાંથી પાણી બંધ કરી સર્ચ ઓપરેશનસ્થાનિકોએ તાત્કાલિક મહેસાણા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વૃદ્ધાની શોધખોળ માટે ધરોઈ ડેમમાંથી કેનાલનું પાણી પણ બંધ કરાવવામાં આવ્યું હતું. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગત મોડી સાંજ સુધી કેનાલના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે અંધારું થઈ જતાં અને વિઝિબિલિટી ઘટતા રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.આજે વહેલી સવારથી ફરી એકવાર મહેસાણા ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધા હજુ સુધી ન મળતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 10:01 am

પ્રભાસપાટણ ગામ-સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો:સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાતોરાત રસ્તા બંધ કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ; પ્રભાસ હિત રક્ષક સમિતિનું આવેદન

સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના જાહેર રસ્તાઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે જાહેર સૂચના વિના રાતોરાત સિમેન્ટની દીવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાતા સમગ્ર પ્રભાસ પાટણ ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પ્રભાસ પાટણ ગામના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી, મંદિર ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે બંધ કરાયેલા બંને રસ્તાઓ તાત્કાલિક અસરથી ખુલ્લા કરાવવા માગણી કરવામાં આવી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ શામળા સહિતના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ ગામ સદીઓથી વસેલું છે અને ચારથી પાંચ પેઢીથી ગ્રામજનો અહીં વસવાટ કરે છે. જ્યારે ગામ વસ્યું ત્યારે સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં હતું અને અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત જુનુ મંદિર હાજર હતું. તે સમયથી પ્રભાસ પાટણ ગામની મુખ્ય બજારથી દિગ્વીજય દ્વાર સુધીનો ખુલ્લો રસ્તો ગ્રામજનો તથા યાત્રાળુઓ માટે જીવનરેખા સમાન રહ્યો છે. આ રસ્તાઓ માત્ર અવરજવર માટે નહોતા, પરંતુ પ્રભાસ પાટણ ગામ માટે ધોરીનશ સમાન હતા. ચારથી પાંચ પેઢીથી અહીં વસતા ગ્રામજનો માટે આ રસ્તાઓ ધાર્મિક આસ્થા, સામાજિક સંસ્કાર, આર્થિક પ્રવૃત્તિ અને આપત્તિ સમયે જીવ બચાવવાના માર્ગ રહ્યા છે. ભગવાન શ્રી સોમનાથજીના નિયમિત દર્શન, અંતિમ યાત્રા સમયે ધ્વજાજીના દર્શન, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ તથા આગના બનાવોમાં ફાયર ફાઈટર પહોંચાડવા માટે આ રસ્તાઓ અનિવાર્ય રહ્યા છે. પરંતુ કોઈ આગોતરી જાણ, જાહેરનામું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ટ્રસ્ટ દ્વારા આ રસ્તાઓ બંધ કરાતા પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે જાણે દીવાલ ઊભી કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી ગયો છે, જેના કારણે સ્થાનિક વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, વણકામ, દરજીકામ જેવા પરંપરાગત ધંધાઓ પર સીધી અસર પડી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં આ પગલાને કાયદા વિરુદ્ધ અને મનસ્વી ગણાવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, સીટી સર્વે રેકોર્ડ અનુસાર 1922થી 1926 દરમ્યાનથી આ રસ્તાઓ સરકારી જાહેર રસ્તા તરીકે અસ્તિત્વમાં છે અને 100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં છે. ઈન્ડિયન ઈઝમેન્ટ એક્ટ મુજબ ગ્રામજનોના કાયદેસર ઈઝમેન્ટ રાઈટ હોવા છતાં, તે અધિકારો રાતોરાત છીનવી લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:55 am

સામાન્ય અકસ્માતમાં મારામારી:પ્રહલાદનગર ગાર્ડન પાસે ડ્રાઈવરથી ગાડી અડી જતા પાછળ બેઠેલા શેઠાણીને બે શખસોએ લાફા મારી દીધા

અમદાવાદ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગઇકાલે(7 ફેબ્રુઆરી) બપોરના સમયે એક ગાડીમાં ડ્રાઇવર શેઠાણીને લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરથી આગળની ગાડીને ગાડી અડી જતા ગાડીમાંથી એક યુવક યુવતીએ ઉતરીને ડ્રાઈવર અને શેઠાણીને લાફા મારી દીધા હતા. આ અંગે ડ્રાઈવરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આગળની ગાડીને કાર અડી ગઈવેજલપુરમાં રહેતા ઉપેન્દ્ર યાદવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રહલાદનગર ખાતે રહેતા તેમના શેઠાણી નિધી શાહને ગાડીમાં લઈને તે જતો હતો. આ દરમિયાન પ્રહલાદનગર ગાર્ડન પાસે આગળની ગાડીને તેમની ગાડી અડી જતા આગળની ગાડીમાંથી એક યુવતી અને તેની સાથે એક યુવક ગાડીમાંથી ઉતરીને બહાર આવ્યા હતા. ડ્રાઇવર અને શેઠાણીને લાફા માર્યાબંનેએ ઉપેન્દ્રને કહ્યું હતું કે તું આંધળો છે તેમ કહી ઉપેન્દ્ર અને નિધીબેનને ગાળો બોલીને પાછળનો દરવાજો ખોલી નિધીબેનને લાફા મારી દીધા હતા. ઉપેન્દ્રને પણ એક લાફો મારી દીધો હતો. આ દરમિયાન તેમના પતિ સંયમ શાહને ફોન કરતા સંયમભાઈ પણ ત્યાં પહોંચ્યા ત્યારે બંનેેએ સંયમભાઈનો કોલર પકડીને તેમને પણ રસ્તાની વચ્ચે બે લાફા મારી દીધા હતા. યુવક-યુવતી મારામારી કરી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં આ અંગે ઉપેન્દ્રએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:40 am

ચીન ડૉલર-બોન્ડ વેચી સોનાનો કરી રહ્યો છે ભંડાર, સતત 15મા મહિને બમ્પર ખરીદી કરી ચોંકાવ્યાં

Gold and China News : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી 1000 ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક 1000 ટનની ઉપર રહ્યો હતો. ચીનની સેન્ટ્રલ બેંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 9:38 am

સુરતમાં નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, મેજર કોલ જાહેર:ગ્રાઉન્ડ ફ્લોર પરના ખાતામાં આગ લાગતા અફરાતફરી, 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરતમાં ફરી લાગી ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. ખાતામાં જથ્થાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના ઘટના સ્થળે દોડી ગયા છે. રવિવાર હોવાથી રજાનો દિવસે આગથી હાલ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:28 am

NDPS કેસનો આરોપી ઝડપાયો:પોશીનાના ચંદ્રાણા પાસેથી ડીસા પોલીસે પકડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPSના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને પોશીનાના ચંદ્રાણા ગામની સીમમાંથી બાતમીના આધારે પકડવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI આર.કે. ગજ્જર અને ડી-સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના દીપકકુમારને બાતમી મળી હતી. બાતમી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતો ફરતો આરોપી હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર (રહે. ચંદ્રાણા, તા. પોશીના) ચંદ્રાણા ગામની સીમમાં રોડ પર ઊભો હતો. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને છેલ્લા આઠ મહિનાથી ફરાર હવલાભાઈને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તે ચંદ્રાણા (ખણીઘાંટીફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠાનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:22 am

બોટાદમાં મિકેનિક-ડીલર એસોસિએશનનો સેમિનાર યોજાયો:ટ્રાફિક પોલીસે નિયમો અંગે જાગૃતિ માટે સૂચનો કર્યા

બોટાદના ગઢડા રોડ પર આવેલી મહાદેવ હોટેલ ખાતે મિકેનિક અને ડીલર એસોસિએશનનો જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પટેલ હીરો એજન્સી દ્વારા આયોજિત આ સેમિનારમાં બોટાદ જિલ્લાના બાઈક મિકેનિકલ એસોસિએશન અને બાઈક ડીલર એજન્સીના પ્રતિનિધિઓ સહિત આશરે 250 લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક પી.એસ.આઈ., એ.એસ.આઈ., કોન્સ્ટેબલ સહિતના પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કેળવવા માટે સૂચનો કર્યા હતા. જેમાં હેલ્મેટ પહેરવું, સિગ્નલોનું પાલન કરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો, વાહનોનું આડેધડ પાર્કિંગ ન કરવું, અને સીટબેલ્ટ ફરજિયાત બાંધવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાહનો માટે જરૂરી પીયુસી, વીમો, પાસિંગ અને નંબર પ્લેટ નિયમ મુજબ લગાવવા, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું અને બાઇકમાં ત્રણ સવારી ન કરવી જેવા અનેક ટ્રાફિક નિયમોના સુચારુ અમલીકરણ માટે પણ જાણકારી અને સૂચનો આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:05 am

પાલડીમાં ડોક્ટરને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા:ક્લિનિકમાં મસાજ કરાવતા હોય તેવું ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર માગ્યા, વીડિયો સાથે સ્કેનર મોકલ્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરને ધમકાવીને એક ગેંગના લોકોએ પૈસા પડાવ્યા છે. ડોક્ટર તેમની કેબિનમાં બોડી મસાજ કરાવતા હોય તેવા સીસીટીવી મોકલીને 40 હજાર અને 35 હજાર જેવી રકમ માંગતા ડોક્ટરે ગભરાઇને ઓનલાઇન 5 હજાર મોકલી દીધા હતા. જોકે બાદમાં આરોપીઓએ બ્લેકમેલ કરવાનું યથાવત રાખતા ડોક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર મસાજ કરાવતા હોય તેવું ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર માગ્યાપાલડી વિસ્તારમાં રહેતા આધેડ વયના ડોક્ટરને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં ક્લિનિકના ફૂટેજ હતા. જેમાં ડોક્ટર બોડી મસાજ કરાવતા હતા. વીડિયો મોકલનારે આવી અનેક ક્લિપ હોવાનું કહીને ડોક્ટરને ડરાવ્યા હતા. વીડિયો મોકલનારે આખુ ફોલ્ડર બનાવ્યુ છે અને તે ફૂટેજ ડિલીટ કરવાના 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોની સાથે ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેનર મોકલ્યુંમેસેજ કરનારે પૈસા નહી આપો તો સમાજના ગ્રુપમાં વીડિયો મોકલીને તમને બદનામ કરીશુ તેવી ધમકી પણ આપી હતી. જેથી ડોક્ટરે ગભરાઇને તેમનો નંબર બંધ કરી દીધો હતો. જે બાદ ફરીથી શખસોએ તેમને અન્ય એક વીડિયો મોકલ્યો હતો સાથે ઓનલાઇન પેમેન્ટનું સ્કેનર મોકલ્યુ હતું. બાદમાં વોટ્સએપ નંબરથી અવાર-નવાર પૈસાની માંગણી ચાલુ રહેતા તેમણે નંબર બ્લોક કરી દીધો હતો. અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી જોકે ડોક્ટરે ડરીને પાંચ હજાર રૂપિયા ચુકવી દીધા હતા. ઓનલાઇન પેમેન્ટની લિમીટ હોવાથી આરોપીઓએ બેંક એકાઉન્ટની વિગતો આપીને 40 હજારની માંગણી કરી હતી. જેથી ડોક્ટરે પરિચિત તથા મિત્રો સાથે વાત કરતાં આ મામલે અરજી કરી હતી. ડોક્ટરે પૈસા ન આપતા અગર ઘી સીધી ઉંગલી સે નહી નીકલેગા તો ટેઢી કરની પડેગી તેવા મેસેજ કરીને ધમકી આપી હતી. જે બાદ ફેસબુક પેજનો ફોટો મોકલ્યો હતો જે પેજની વિઝીટ કરતાં તેમાં ક્લીનીક અને ડોક્ટરની વિગતો સાથેના અગાઉ મોકલેલા વીડિયો અપલોડ કર્યા હતા. ડોક્ટરે અરજી કર્યા બાદ હવે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 8:15 am

લગ્ન માટે હવે વિદેશ જવાની જરૂર નથી!:નવસારીમાં બની રહ્યું છે ગ્લોબલ વેડિંગ ડેસ્ટિનેશન, બૂલેટ ટ્રેન NRI હબને આપશે નવી ગતિ; મુંબઈથી દોઢ કલાકનું જ અંતર

દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું શહેર ગણાતું નવસારી હવે વિશ્વના નકશા પર નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ચીકુ અને કેરીની વાડીઓ માટે જાણીતું આ શહેર આગામી દિવસોમાં 'મેરેજ ટુરિઝમ'નું હબ બનશે. નવસારીના એક ખેડૂતપુત્રએ ખેતીમાં નુકસાન વેઠ્યા બાદ હિંમત હારવાને બદલે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. હવે અડદા ગામમાં 250 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા છે, જે 5000 લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. આ સાથે જ મુંબઈથી માત્ર દોઢ કલાકના અંતરે આ વર્લ્ડ ક્લાસ સુવિધા વિકસશે. ત્યારે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી આને ખૂબ મોટો ફાયદો થશે. ખેતીના સંઘર્ષમાંથી કન્સ્ટ્રક્શનનો માર્ગઆ સાહસિક સફરની શરૂઆત સંજય પટેલ નામના યુવાન દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000થી 2005 દરમિયાન તેઓ પરંપરાગત ખેતી સાથે જોડાયેલા હતા. જોકે, બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે વારંવાર પાક નિષ્ફળ જતાં તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું. કુદરત પર નિર્ભર ખેતીમાં અનિશ્ચિતતા જણાતા તેમણે 2005માં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું. નવસારી જેવા ટાયર-3 શહેરમાં તેમણે સૌપ્રથમવાર 'રી-ડેવલપમેન્ટ'નો કન્સેપ્ટ રજૂ કરીને ઈમારતોનો કાયાકલ્પ કરવાનું શરૂ કર્યું હતું. 'મેરેજ ટૂરિઝમ' શા માટે?આ પ્રોજેક્ટ પાછળનો વિચાર સંજય પટેલને તેમના યુરોપ પ્રવાસ દરમિયાન આવ્યો હતો. વિદેશમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા શહેરના છે, ત્યારે 'નવસારી' નામ કોઈ ઓળખી શક્યું નહીં. પરંતુ જ્યારે તેમણે 'સુરતની બાજુમાં' એમ કહ્યું ત્યારે તુરંત ઓળખ મળી હતી. આ ઘટનાએ તેમને હચમચાવી દીધા. તેમણે નક્કી કર્યું કે નવસારીની ઓળખ માત્ર સુરતના પડોશી શહેર તરીકે નહીં, પરંતુ ગ્લોબલ લેવલે સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે નક્કી કર્યું કે નવસારીને સુરતના ઓશિયાળા રહેવાને બદલે એક સ્વતંત્ર અને વૈશ્વિક ઓળખ આપવી જોઈએ. આ હેતુથી તેમણે સુરત જેવી જ લક્ઝુરિયસ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સુવિધાઓ નવસારીમાં લાવવાનું નક્કી કર્યું. આ હેતુથી તેમણે નવસારીને વેડિંગ હબ બનાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓઅડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીન પર આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેની સુવિધાઓ આંતરરાષ્ટ્રીય હોટલ ચેઈન જેવી કે તાજ અને મેરિયટને ટક્કર આપે તેવી હશે.કુલ રોકાણ 250 કરોડ (અંદાજિત)જમીનનો વિસ્તાર 8,00,000 સ્ક્વેર ફૂટમહેમાનોની ક્ષમતા 5,000 લોકો એકસાથેરૂમની સંખ્યા 235 લક્ઝુરિયસ રૂમ્સબેન્ક્વેટ હોલ 25,000 સ્ક્વેર ફૂટ (કોલમ લેસ)રમત-ગમત IPL સાઈઝ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગો-કાર્ટિંગ, ટેનિસ કોર્ટઅન્ય સુવિધાઓ ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ, 1,200ની ક્ષમતાનું ઓડિટોરિયમપાર્કિંગ 500 કારની ક્ષમતા NRI અને મુંબઈના પરિવારો માટે પ્રથમ પસંદગી રહેશેનવસારી જિલ્લો એનઆરઆઈ (NRI) હબ ગણાય છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હજારો પરિવારો વતન આવે છે. અત્યાર સુધી આ પરિવારો ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર, જયપુર કે ગોવા તરફ વળતા હતા, જેના કારણે કરોડો રૂપિયાનું મહેસૂલ અન્ય રાજ્યોમાં જતું હતું. હવે, નવસારીમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળવાથી આ આર્થિક પ્રવાહ સ્થાનિક કક્ષાએ જળવાઈ રહેશે. વધુમાં, આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતા મુંબઈથી નવસારી માત્ર 1.5 કલાકમાં પહોંચી શકાશે. મુંબઈમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અહીં વૈશ્વિક સુવિધાઓ મળશે, જે મુંબઈગરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રોજગારીનું નવું એન્જિનઆ પ્રોજેક્ટ માત્ર એક ઈમારત નથી પણ આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000 લોકોને રોજગારી મળશે. કયા ક્ષેત્રોને બુસ્ટ મળશે કેટરિંગ અને ફૂડ ઉદ્યોગ: મોટા પાયે સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનો વપરાશ વધશે. ઈવેન્ટ મેનેજમેન્ટ: ડેકોરેશન, ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને સલૂન વ્યવસાયને વેગ મળશે. ટ્રાન્સપોર્ટેશન: લોકલ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓના બિઝનેસમાં વધારો થશે. કોલેજ પૂરી ખેતી તરફ વળ્યાં પણ ફેલડેવલોપર સંજય પટેલ જણાવે છે કે હું મારા પૂર્વજોના વ્યવસાય એટલે કે ખેતીમાંથી આવું છું. કોલેજ પૂરી કર્યા પછી મેં લગભગ પાંચ વર્ષ ખેતી કરી, પરંતુ ખેતી સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે. વારંવાર કમોસમી વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે, મેં આ વ્યવસાય છોડીને કંઈક નવું કરવાનું વિચાર્યું. મને પહેલેથી જ કન્સ્ટ્રક્શનમાં રસ હતો, તેથી 2005થી મેં ખેતી છોડીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશનનું સપનુંપટેલ વધુમાં જણાવે છે કે, અમે હવે 'મેરેજ ટુરિઝમ' પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. નવસારી એક એન.આર.આઈ. (NRI) પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં વર્ષોથી લોકો તેમના બાળકોના લગ્ન કરાવવા માટે આવતા હોય છે. લોકો જયપુર અને ઉદયપુર જેવા સ્થળોએ લગ્ન માટે કરોડો રૂપિયા ખર્ચે છે. અમે નવસારીમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં એક ભવ્ય ક્લબ હાઉસ અને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશન તૈયાર કરી રહ્યા છીએ, જેથી તે જ સુવિધાઓ અહીં મળી શકે. નવસારીની ઓળખ સુરતના આધારે થતીજ્યારે હું વિદેશ જતો ત્યારે મને એ વાતનું દુઃખ થતું કે અમારે નવસારીની ઓળખ આપવા માટે 'સુરત પાસેનું નવસારી' કહેવું પડતું હતું. પરંતુ મારા આ પ્રોજેક્ટ દ્વારા, હું નવસારીને વિશ્વના નકશા પર એક અલગ ઓળખ અપાવવા માંગુ છું. જેમ મેડિકલ ટુરિઝમ પ્રખ્યાત છે, તેમ નવસારી મેરેજ ટુરિઝમ માટે જાણીતું બને તેવી મારી ઈચ્છા છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે લગભગ 4થી 5 હજાર લોકોને રોજગારી પૂરી પાડીશું. જેમાં લાઈટિંગ, મંડપ, ડેકોરેશન, કેટરિંગ અને હોટલ રૂમ્સ જેવી વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારા પોતાના વિકાસની સાથે શહેરનો પણ સર્વાંગી વિકાસ થાય. નવસારીમાં ધંધા-રોજગાર સારા ચાલે એ સમયની માગનવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા જણાવે છે કે, અહીં નવસારીમાં જેમને લગ્ન કરવા હોય તેવા પરિવારો માટે પણ એક મેરેજ ટુરિઝમ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે. હાલમાં જ સંજય કાછિયાવાડીએ મોટા બિલ્ડર છે અને એ પણ આવો કંઈક આવો જ મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. અને એ એવો પ્રોજેક્ટ કે જેમાં મોટા-મોટા મુંબઈના, અમદાવાદના કે મોટા જે લોકો બહાર ડેસ્ટિનેશન મેરેજ કરતા હોય છે, એમના માટે આ જગ્યા બહુ સારી રહેશે એટલું એ રીતનું એ બનાવે છે. તો અહીંયા પણ આના માટે કંઈક એક મેઈન સુવિધા રેલવેની છે નવસારી ફરી ઉપર આવે, નવસારીમાં ફરી ધંધા-રોજગાર સારી રીતે ચાલે એવું થાય એ સમયની માગ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 8:00 am

પાકિસ્તાનને ધૂળ ચટાડનાર 18 વર્ષનો ગુજ્જુ કોણ?:કોહલીને જોઇ બેટ લઇ નીકળી પડતો, સચિને આપી કુલ રહેવાની ટિપ્સ; 21 નંબરની જર્સી અને 21મી તારીખનું ખાસ કનેક્શન

ઝિમ્બાબ્વેની ધરતી પર ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે અંગ્રેજોને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ભવ્ય જીત મેળવી હતી. આ માત્ર એક જીત જ નહોતી પણ યુવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું આધિપત્ય સાબિત કરીને બતાવ્યું છે. આ જીત સાથે ઇન્ડિયન ટીમે છઠ્ઠીવાર આ ખિતાબ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જો કે ભારતીય ટીમ માટે ફાઇનલ મેચ કરતાં પાકિસ્તાન સામેની સુપર સિક્સ સ્ટેજની મેચ ખૂબ જ કપરી રહી હતી કેમ કે આ મેચમાં વૈભવ સૂર્યવંશી, કેપ્ટન આયુષ મ્હાત્રે અને એરોન જ્યોર્જ ખૂબ જ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એવામાં ડગઆઉટ પર બેઠેલા 18 વર્ષીય ગુજ્જુ ખેલાડીને મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળવા ક્રિઝ પર મોકલવામાં આવે છે. જે બાદ તેણે પાકિસ્તાની બોલર્સની ધોલાઇ કરીને નિર્ણાયક 68 રન બનાવ્યા… અંતે ઇન્ડિયાની જીત થઇ. જેના પછી દરેક ભારતીયના મોઢે એક જ નામ હતું......વેદાંત ત્રિવેદી. વેદાંત ત્રિવેદી મૂળ અમદાવાદનો છે અને તેણે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ કોચિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી વેદાંતનો રોલ મોડલ છે. ક્રિકેટર બનવાના જોયેલા સપનાંને આજે વેદાંતે લાખો ચાહકોની સામે પૂરું થતાં જોયું છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ દિવ્ય ભાસ્કર વેદાંત ત્રિવેદીના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પિતા અલ્પેશ ત્રિવેદી અને માતા મિતા ત્રિવેદી સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. વેદાંતના પિતા એન્જિનિયર છે જ્યારે માતા શિક્ષિકા છે. વર્લ્ડકપ ફાઇનલ વખતે શું થયું હતું?વેદાંતના પિતા અલ્પેશ ત્રિવેદીએ વર્લ્ડકપની ફાઇનલ મેચના દિવસનો ઘટના ક્રમ જણાવતાં કહ્યું, એ દિવસ એવો હતો કે આસપાસ કોઇ બોલાવે તો પણ તેમના પર ધ્યાન નહોતું, કંઇ ગમતું જ નહોતું. અમારું ફોકસ માત્રને માત્ર મેચમાં જ હતું પણ જ્યારે આપણી પહેલી ઈનિંગમાં 400 ઉપર સ્કોર બન્યો એ પછી થોડી શાંતિ થઇ અને અંતે અમે ફાઇનલનું એન્જોયમેન્ટ શરૂ કર્યું હતું. વેદાંત હાથમાં બેટ લઇને સોસાયટીમાં નીકળી પડતોવેદાંત નાનો હતો ત્યારે સામાન્ય બાળકની જેમ જ હાથમાં બેટ લઇને સોસાયટીમાં રમવા માટે નીકળી પડતો હતો કેમ કે તેને ક્રિકેટનો નાનપણથી જ એટલો બધો શોખ હતો. વેદાંતના પિતાએ કહ્યું, વેદાંત તેના એજ ગ્રુપ કરતાં પણ મોટા બાળકો સામે સારું ક્રિકેટ રમતો હતો. જ્યારે એ સમજણો થયો એટલે તેણે જીદ પકડેલી કે મારે પણ ક્રિકેટ કોચિંગમાં જવું છે એટલે તેની દસેક વર્ષની ઉંમર હતી ત્યારે તેને ક્રિકેટ એકેડમીમાં મૂક્યો હતો. માત્ર વેદાંત જ નહીં મને પણ ક્રિકેટનો ખૂબ જ શોખ છે. અમે જ્યારે તેને એકેડમીમાં મુક્યો તેના છએક મહિના પછી અમને લાગ્યું કે વેદાંત આમાં કંઇક સારું કરી શકશે એટલે તે વધારે સારી રીતે પ્રેક્ટિસ કરે તે પ્રકારનું આયોજન કરતાં હતા. ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરીતેના માતાએ રમતની સાથોસાથ વેદાંતના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શિક્ષણ દરેક માટે જરૂરી છે એટલે શિક્ષિકા તરીકે હું તેને કાયમ કહેતી કે ક્રિકેટની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. જ્યારે તે બોર્ડમાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે તુ હાઇ ક્વોલિફિકેશન જેટલા માર્ક ન લાવ તો કંઇ નહીં પણ જેટલું જરૂરી છે એટલી તુ મહેનત કર અને શિક્ષણમાં પણ આગળ નીકળ તેવી મારી આશા છે. વેદાંતનો રોલ મોડલ વિરાટ કોહલીજ્યારે વેદાંતનું જુનિયર એજમાં ક્રિકેટ રમવાનું શરૂ થયું ત્યારથી વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. જ્યારે ટેસ્ટ કે વન-ડે મેચ હોય અને તેમાં વિરાટ કોહલી રમતો હોય ત્યારે વેદાંત પણ તેનું નાનકડું બેટ લઇને ટીવી સામે ઊભો રહી જતો હતો. એ સમયે કોહલી મેચમાં જે પ્રકારે શોટ્સ મારે તેવી જ રીતે તે પણ અહીં શોટ્સ મારતો હતો. 6 વર્ષ પહેલાં સપનું જોયું હતુંતેના પિતાએ કહ્યું, વેદાંતે ક્રિકેટર્સને રમતા જોઇને જે પ્રેક્ટિસ કરી છે તેનું પરિણામ તેને ગ્રાઉન્ડ પર મળ્યું છે, એ પછી ઇન્ટર સ્કૂલની મેચ હોય કે પછી અમદાવાદ ડિસ્ટ્રીક્ટની ટીમમાં રહ્યો હોય, તેણે આ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વેદાંત અંડર-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો છે પણ તેણે અહીં સુધી પહોંચવાનું સપનું છએક વર્ષ પહેલાં જોયું હતું. તેની ઇચ્છા હતી કે હું પણ દેશ માટે કંઈક કરું અને મારે 2026ના વર્લ્ડકપમાં ટીમમાં સ્થાન મેળવીને રમવું છે. નિષ્ફળતામાં હંમેશા માતા-પિતાનો સપોર્ટ મળ્યોદરેક સફળ ક્રિકેટરે પોતાના કરિયરમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય છે. આવા સમયે તેને હતાશા અને નિરાશા થતી હોય છે પણ વેદાંતના આવા સમયમાં તેના પિતા તેના મિત્ર બનીને સમજાવતાં હતા કે તેની મહેનત ક્યાં ઓછી પડી રહી છે. આવા સમયે કેવી રીતે કમબેક કરવું તેનું પણ મોટિવેશન આપતાં હતા. વેદાંતને મમ્મી તરફથી પણ પ્રોત્સાહન મળતું રહેતું. તેના માતાએ કહ્યું કે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ઘણીવાર તેનું પર્ફોર્મન્સ સારૂં હોય પણ કોમ્પિટિશન વધારે હોય. ટીમ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડી સિલેક્ટ કરે છે. સારૂ પર્ફોર્મન્સ હોવા છતાં વેદાંત નિરાશ થાય ત્યારે અમે તેને કહેતા કે તુ તારી પ્રેક્ટિસ ચાલુ જ રાખ, તારી ક્ષમતાને તુ જેટલી ધારદાર કરીશ તેનાથી જ તુ આગળ વધી શકીશ. ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ તે ભાવુક ક્ષણતેના પિતા જણાવે છે કે, વેદાંત જ્યારે પહેલીવાર 2022માં ગુજરાત તરફથી રમ્યો એ અમારા માટે ગૌરવની ક્ષણ હતી પણ જ્યારે તેની ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ અને ભારતીય ટીમની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર ઉતર્યો એ ક્ષણ અમારા માટે ખૂબ જ ભાવુક કરનારી હતી. વર્લ્ડકપ માટે નામ જાહેર થયું ત્યારે વેદાંત કારમાં હતોજ્યારે વર્લ્ડ કપની ટીમ માટે વેદાંતનું નામ ફાઇનલ થયું તે ક્ષણને યાદ કરતા તેના પિતાએ કહ્યું, એ મોમેન્ટ ખૂબ જ ભાવુક હતી. જે સપનું 7-8 વર્ષ પહેલાં જોયું હતું, એ ત્યારે પુરું થયું. આ સપનું અમારું હતું, વેદાંતનું હતું સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું હતું. દેવાધિદેવ મહાદેવની વિશેષ કૃપા રહી કે ભારતે છઠ્ઠીવાર આ વર્લ્ડ કપ જીત્યો એટલે આ બધી વસ્તુઓ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જ્યારે સ્ક્વોડ ડિક્લેર થઇ ત્યારે તમે ક્યાં હતા અને વેદાંતનું રિએક્શન કેવું હતું આ સવાલના જવાબમાં તેના પિતા જણાવે છે કે, વેદાંતે જ અમને સમાચાર આપ્યા કે પપ્પા આપણી ટીમ ડિક્લેર થઇ ગઇ છે અને મારું નામ સ્ક્વોડમાં છે. એ ટાઇમે અમે સાથે જ કારમાં હતા. હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને વેદાંત મારી બાજુમાં જ બેઠો હતો. તેના માતા કહે છે કે, એ ક્ષણ તો શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેને વર્લ્ડકપ રમવાની ઇચ્છા હતી. એ ક્ષણ જ્યારે સાચી સાબિત થઇને નજર સામે આવે ત્યારે તેને વર્ણવી ન શકાય. પાકિસ્તાન સામેની મેચનો કિસ્સો તેના માતાએ કહ્યું કે, મેચના આગલા દિવસે મારે તેની સાથે વાત થઇ હતી ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે કોઇ પ્રેશર લેવાની જરૂર નથી. કોચે તને જે ગાઇડન્સ આપ્યું છે તે પ્રમાણે તુ તારી નેચરલ ગેમ રમજે. જે થાય તે ભગવાન પર છોડી દેજે. ભગવાન જે કરશે તે સારૂ જ કરશે, તુ તારી રમત પર પૂરો ભરોસો રાખ. પાકિસ્તાનની સામેની મેચમાં જ્યારે આપણો ટૉપ ઓર્ડર ચાલ્યો નહીં ત્યારે વેદાંત ક્રિઝ પર આવ્યો હતો. એ સમયે તમે મેચ જોતા હતા તો તમારા મગજમાં શું ચાલતું હતું આ અંગે પૂછતાં તેના પિતાએ કહ્યું, ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે દરેક ભારતવાસીઓ દબાણ અનુભવતા હોય છે. 'પાકિસ્તાન સામેની મેચમાં આપણી શરૂઆત સારી હતી પણ 47 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી વેદાંતે વિહાન મલ્હોત્રા સાથે પાર્ટનરશીપ કરતાં ટીમને થોડી રાહત મળી હતી એટલે ત્યારે બધાને એવું જ હતું એકવાર ટીમ 225 રન સુધી પણ પહોંચી જાય. જેનો ફાયદો આપણને મળશે અને આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ જઇશું.' 'અંતે આપણી બેટિંગ લાઇન ખૂબ સારી હતી. છેલ્લે આપણા ઓલરાઉન્ડર્સે સારી બેટિંગ કરીને પાકિસ્તાનને એવો સ્કોર આપ્યો કે આપણે તેમને સરળતાથી મેચ હરાવી દીધી.' પાકિસ્તાન સામેની મેચ પહેલાં વેદાંત સાથે થયેલી વાતચીત અંગે તેના પિતાએ કહ્યું, જ્યારે વેદાંત બહાર ટૂરમાં રમતો હોય છે ત્યારે નોર્મલ વાત કરું છું. તેણે શું ખાધું, કેવી હેલ્થ છે, બહાર ક્યાં ફરવા ગયા, શું સારું જોવા જેવું છે, આવું જ પૂછું છું કારણ કે એક પિતા તરીકે ઇચ્છીએ કે તે દેશ-વિદેશમાં હોય ત્યારે તે જગ્યાને એક્સપ્લોર કરે એટલે તેના સિવાય મેચ વિશે કોઇ દિવસ કોઇ ચર્ચા કરી નથી. પાકિસ્તાન કે પછી વિદેશી ખેલાડીઓ આપણાં ખેલાડીઓને દબાણમાં લાવવા માટે સ્લેજિંગ કરતાં હોય છે તો પાકિસ્તાનની મેચ સમયે વેદાંતને આવો સામનો કરવો પડ્યો હતો કે નહીં એ અંગે અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, એણે તો એટલું જ કહ્યું હતું કે કોઇએ સ્લેજિગં કર્યું હશે તો મને ખ્યાલ નથી કેમ કે હું મારા ઝોનમાં જ હતો. મેચ દરમિયાન સતત તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે કેવી રીતે 40 ઓવર સુધી મેચને લઇ જવી અને તે લગભગ 40મી ઓવરમાં આઉટ થઇને પાછો ફરી રહ્યો હતો એના અનુભવ વિશે વેદાંતે કહ્યું કે તેને તેના રોલથી સંતોષ હતો. દરેક ખેલાડીનું તેની જર્સીના નંબર સાથે ખાસ કનેક્શન હોય છે એવું જ કંઇક ખાસ કનેક્શન વેદાંતનું પણ પોતાની જર્સી નંબર સાથે જોડાયેલું છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે, જ્યારે વેદાંતનો જન્મ થયો ત્યારે અમારા ટેનામેન્ટનો નંબર પણ 21 હતો અને તેની જન્મ તારીખ પણ 21 હતી. એ પોતાની જન્મ તારીખને ખૂબ જ લકી માને છે એટલે જ તે પોતાની ટી-શર્ટ માટે 21 નંબરની પસંદગી કરે છે. જ્યારે વેદાંતનો શરૂઆતનો તબક્કો હતો ત્યારે તો બેએક વર્ષ સુધી તેનું સવારનું જે સેશન હોય તેમાં તે જતો હતો. એ પછી તે સ્કૂલ જતો હતો, સ્કૂલમાંથી પાછા આવીને તે ઘરમાં જ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેનું ડિસ્ટ્રીક્ટ માટે સિલેક્શન થયું તો તેને સવારે સીબીસીએના કેમ્પમાં જવાનું થતું એટલે સવારના કોચિંગને તે સાંજ શિફ્ટ કરતો. જેમ જેમ તે આગળ વધી રહ્યો હતો અને પ્રોફેશનલ ક્રિકેટમાં આવ્યો એટલે તેના કોચિંગનો પણ સમય વધતો ગયો. હાલમાં તે દરરોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે સાથે જ તેના ફિટનેસ બાબતે પણ એટલું જ ધ્યાન રાખે છે. અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, વરસાદ હોય કે ઠંડી, રવિવાર હોય કે કોઇ તહેવાર હોય પણ વેદાંત 365 દિવસનો એથલિટ્સ છે. આઠ વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે પ્રેક્ટિસ માટે અમારે તેને ઉઠાડવો પડ્યો હોય. તે ખૂબ જ ક્વીક લર્નર છે. વેદાંત ત્રિવેદી આજે ભલે આંતરરાષ્ટ્રીય લેવલના મેદાનમાં રમીને સૌના દિલોમાં છવાઇ ગયો છે પણ તેણે ક્રિકેટના કક્કાની શરૂઆત તેના ઘરની બહાર આવેલા પેસેજમાંથી કરી હતી. જ્યાં તે ક્રિકેટની કિટ પહેરીને તૈયાર થતો અને તેના પિતા અલ્પેશ ત્રિવેદી તેને બોલ નાંખતાં હતા. એ જગ્યાએ વેદાંતે ખૂબ જ એન્જોય કરી છે. આજે પણ સમય મળે ત્યારે તેના પિતા સાથે તે ત્યાં જ ક્રિકેટ રમે છે. સચિને કેવી રીતે કુલ રહેવું તેની ટિપ્સ આપીતેના પિતાએ કહ્યું કે, વેદાંત અને સમગ્ર ટીમ સાથે વીવીએસ લક્ષ્મણ, ઋષિકેશ અને સુનિલ સર હોય એટલે તેમનું તો માર્ગદર્શન અવારનવાર મળતું હતું પણ જ્યારે સચિન તેંડુલકર સાથે તેની વાત થઇ એનાથી તે ખૂબ જ ખુશ હતો. વેદાંતે મને કહ્યું હતું કે પપ્પા આજે સચિન તેંડુલકર સાથે મારી વીડિયો કોન્ફરન્સથી વાત થઇ હતી ત્યારે તેણે કહ્યું હતું કે હું હજી વધારે સારું કરીશ તો તેમને રૂબરું મળી શકીશ. આ દરમિયાન સચિને કેવી રીતે કુલ રહીને મેચ જીતી શકાય તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.' વેદાંતના ડાયટ અને શિક્ષણ વિશે તેના માતાએ વાત કરી.'વેદાંતને જે રીતે માર્ગદર્શન મળતું તે રીતે અમે તેને ડાયટ આપતા હતા. અમે તેને કઠોળ, જ્યૂસ કે ડ્રાયફ્રૂટ્સ આપતા હતા. વેદાંત રાત્રે થાકીને આવ્યો હોય તો પણ હું તને કહેતી કે તારે આટલું ભણવાનું તો પૂરૂં કરવું જ પડશે, આટલું વાંચવું જ પડશે. ઘણીવાર હું તેને જૂના પ્રશ્નપત્રો પણ કાઢી આપતી અને તૈયારી કરાવતી.'

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 6:00 am

કલાકારો હવે રાજકીય અને સામાજિક નિશાને?:ક્યાંક જ્ઞાતિ બહાર તો ક્યાંક મંચ પરથી ગાળો; રાજભા ગઢવી બોલ્યા-અપશબ્દોથી તમારું નામ થતું હોય તો આપો!

છેલ્લા 5-6 દિવસથી ગુજરાતમાં કલાકારોના નામની ચોતરફ ચર્ચા છે. ક્યાંક કલાકારોને સમાજ બહાર મુકી દેવાયા છે તો ક્યાંક કલાકારો માટે રાજકીય મંચ પરથી અપશબ્દોનો ઉપયોગ થયો. સામાજિક અને રાજકીય કાવાદાવા વચ્ચે કલાકારો જે રીતે નિશાન બન્યા છે તેનાથી કલાજગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ હવે એક નવા સ્તરે પહોંચ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ બંધારણના કારણે સમાજ બહાર મુકાયેલા કલાકારોની. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. જેમાં સમાજને ખોટા ખર્ચાથી બચાવવા માટે કડક નિયમો બનાવ્યા છે. ડીસા તાલુકાના જાબડિયા ગામે એક લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા કલાકાર પણ હતા. તેમના પર આરોપ છે કે ડીજે સાથે વરઘોડો કાઢીને તેમણે નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આના પછી ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર મુકવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયના પડઘા પડતા ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર ગબ્બર અને અર્જુનના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડીજે તો બંધ નહીં જ થાય. બીજીતરફ ગબ્બર અને અર્જુન ઠાકોરે પણ કહ્યું હતું કે અમે પૂછ્યા વગર આ નિર્ણય લેવાયો છે, અમે બંધારણના કોઇ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. જગદીશ ઠાકોર બંધારણના સમર્થનમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરવાના મુદ્દે અમે અલ્પેશ ઠાકોર અને ચંદનજી ઠાકોર જેવા નેતાઓનો મત જાણવા માટે તેમનો સંપર્ક કર્યો પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે સમાજના બંધારણના સમર્થનમાં સૂર વ્યક્ત કર્યો. જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું, હાલમાં જે એક મુદ્દો બન્યો છે તેની સમગ્ર જગ્યાએ ચર્ચા છે. હજારો લોકો જે બંધારણનો અમલ કરી રહ્યાં છે એ કોઇને દેખાતું નથી. હું કહેવા માંગુ છું કે જ્યાં સરકાર નશાબંધી મુદ્દે ફેલ ગઇ છે ત્યાં ગામે ગામ જઇ જે વ્યસન કરવાવાળા લોકો છે તેમને આ બંધારણ થકી સમજાવવાની વાત ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જો લોકલ લોકો પાસેથી રિપોર્ટ લઇએ તો આ લોકો ખૂબ જ બિરદાવાલાયક કામગીરી કરી રહ્યાં છે. હજારો લોકો આ નિયમનો અમલ કરી રહ્યાં છે તેની પણ વાત મોટા પાયે મીડિયામાં આવવી જોઇએ. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરો સમાજના બંધારણને બિરદાવવું જોઇએવિક્રમ ઠાકોરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જેણે બંધારણ બનાવ્યું છે તેને જ આ બાબતે ખ્યાલ નથી. આ અંગે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, મારે ટિકા ટિપ્પણીમાં પડવું નથી. ગબ્બર ઠાકોરને બંધારણના નિયમ મુજબ સમાજમાંથી બહાર કરવામાં આવ્યાં છે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે, અમને બોલાવ્યા વગર આ નિર્ણય લેવાયો છે. આ બાબતે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, લોકશાહીમાં બધાને પોતાની રીતે અને પોતાનો મત મૂકીને આગળ વધવાની છૂટ હોય છે. આ સામાજિક નિર્ણય છે કોઇએ માનવું, ન માનવું એ કક્ષા એમણે નક્કી કરવાની છે. જેને જરૂરિયાત છે તેવા લોકોએ આ નિર્ણય બનાવ્યો છે અને તેનું પાલન પણ લોકો કરી રહ્યાં છે. ઠાકોર સમાજના અગ્રણી અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કલાકાર કે સિંગર હોય તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ. અન્ય સમાજના કલાકારો તો વિરોધ નથી કરતાઃ બળદેવજીતેમણે કહ્યું, આ કોઇ કોર્ટ નથી પણ સમગ્ર ઠાકોર સમાજે ત્રણ જિલ્લાનું બંધારણ કર્યું છે. અમારું બંધારણ બન્યા પછી ચૌધરી અને રબારી સમાજે પણ બંધારણ બનાવ્યું છે. આ સમાજોમાં પણ ઘણા સિંગર્સ છે છતાં તેમણે ક્યારેય વિરોધ નથી કર્યો. કલાકારોએ સમાજની વાતને ટેકો આપવો જોઇએઃ બળદેવજી'અન્ય સમાજો ઠાકોર સમાજનું સારું બંધારણ બન્યું છે તેવી સારી વાતો કરતાં હોય તેવામાં અમારા સમાજના સિંગર કહે છે કે અમને સમાજમાંથી બહાર મૂક્યાં પણ અહીં એવી વાત ન હોય. આજે 21મી સદી તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ તેમાં ક્યાંક અમારો સમાજ પાછળ છે આવામાં અન્ય સમાજની હરોળમાં અમારા સમાજને લઇ જવા આગેવાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે કલાકાર હોય કે સિંગર હોય, તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ.' 'કલાકારોને મોટા કરવામાં સમાજનો સિંહફાળો'બળદેવજીના મતે, કોઇ પણ મંત્રી હોય કે પછી પાર્ટીનો આગેવાન, કલાકાર હોય કે સિંગર એ વ્યક્તિ સમાજથી મોટી નથી, હંમેશા સમાજ જ મોટો છે કેમ કે આ બધાને મોટા સમાજ જ કરે છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે નિયમો જેણે જાહેર કર્યા તેને પણ ખબર નથી આ અંગે બળદેવજી ઠાકોરને પૂછતાં તેમણે કહ્યું, મારે આ બાબતે બીજું કંઇ કહેવું નથી પણ ગેનીબેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને આ નિયમો ત્રણેય જિલ્લાના આગેવાનોએ મળીને તૈયાર કર્યા છે. જ્યારે લાખોની હાજરીમાં સમાજે તેમને વાંચવા આપ્યું છે એટલે કેવી રીતે કહી શકાય કે ગેનીબેનને તેની ખબર નથી? બાકી જે લોકો બોલ્યાં છે એ મિટિંગના સમયે હાજર હોત તો તેમણે આવું બોલવું ન પડ્યું હોત કે બેનને ખબર નથી. હવે વાત કલાકારો માટે બોલાયેલા અપશબ્દોની કેમ કે સામાજિક વિવાદની સાથે કલાકારો માટે બોલાયેલા અપશબ્દોનો મામલો પણ ગરમાયેલો છે. થોડા દિવસ પહેલાં મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધન કરવા માટે સ્ટેજ પર કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઇ જાય છે ને અચાનક તેઓ કલાકારને આડે હાથ લેવાનું શરૂ કરે છે. તેમણે સ્ટેજ પરથી નિવેદન આપ્યું કે, બધા જ ગાયક કલાકારો આજ કાલ ----(અપશબ્દ) કરે છે… ભવાઇ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી….અદાણી ગુજરાતી. એ લૂંટે છે ભેગા થઇને …એને ગુજરાતી કહીને અમારું નાક ના કપાવો તમે. અદાણી અને અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફતમાં થાય, એના માટે સ્કૂલો અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભૂજમાં બનાવી હતી તમારા અને મારા પૈસે, ભૂકંપ પછી એ પણ અદાણીએ લઇ લીધી. લાલજી દેસાઇના આ નિવેદન બાદ કલાકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી લાલજી દેસાઇએ માફી માગી લીધી હતી. દિવ્ય ભાસ્કરે લાલજી દેસાઇએ સ્ટેજ પરથી જે ગીતનો ઉલ્લેખ કરીને કલાકારો વિશે બફાટ કર્યો હતો તે ગીત જેણે ગાયું હતું તે કિંજલ દવેનો સંપર્ક કર્યો પણ તેના પિતા લલિત દવેએ કહ્યું કે, આ બાબતે અમે અજાણ છીએ. તેમણે કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના પછી અમે પદ્મશ્રી હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ બાબતે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે લોક કલાકાર રાજભા ગઢવી, લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, સિંગર દેવ પગલી, લોક સાહિત્યકાર હકાભા ગઢવી અને અભિનેત્રી ભાવિની જોષીએ ઉગ્ર સ્વરમાં આ બફાટને વખોડ્યો હતો. તમારૂં નામ મોટું થતું હોય તો અમને ગાળો આપોઃ રાજભા ગઢવીલોક કલાકાર રાજભા ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોઇપણ ઘટના બને એટલે કલાકારોને ગાળો આપવાની શરૂ થઇ જાય છે. મેં તો હવે નક્કી જ કરી લીધું છે અને એકાદ જગ્યાએ બોલ્યો પણ છું કે જો અમને ગાળો આપવાથી તમારું ચાલતું હોય અને તમારી પાર્ટીમાં તમારું નામ થતું હોય તો અમને ગાળો પણ આપો. રાજભાએ આગળ કહ્યું કે, કલાકારો ભાજપના ગુણ ગાય છે તો તમે કોના ગુણ ગાવ છો એ કહોને પહેલાં..તમે વાતો કરો છો કે અમે ખપી જઇશું… અરે ખપી જવાના ઇતિહાસ જોયા છે? ખપી કોણ જાય? અમને કોઇ વાંધો નથી તમે જે પાર્ટીમાં હોય તેના વખાણ કરો. અમે તો દરેકના નામ લઇએ છીએઃ રાજભા'આજે કોઇપણ વાત આવે એટલે શોધતાં હોય કે કલાકારો ક્યાં ગયા. ભાજપમાં બધા મિત્રો છે એમની સાથે બેસતાં હોઇએ છીએ. અમે ક્યાંક તેમના નામ લેતા હોઇએ પણ એમ તો નથી કહ્યું ને કે, આ બહું મોટો દાતાર છે અને તેણે આમ કરી નાંખ્યું. બાકી તો પ્રોગ્રામમાં જે પણ આવે અમે તો બધાનું નામ લઇએ છીએ. ક્યારેય ન લીધું હોય તો બતાવી જુઓ.' રાજભાએ વધુમાં જણાવ્યું કે, એક દુઆ સાથે એટલું જ કહેવા માગુ છું કે દુનિયાની જેટલી પણ ભાષા છે અને જેટલી ભાષા આવડતી હોય, ત્રણ કાળનું જાણતો હોય એટલો વિદ્વાન હોય પણ તેનામાં વિવેક ન હોય અને ગમે તે વ્યક્તિને ગમે તે કહી દે તો તે વિવેક વગરનો વિદ્વાન કહેવાય. કોઇ ધર્મ વિરૂદ્ધ બોલે તો જાહેરમાં જવાબ આપુંઃ રાજભાતેમણે કહ્યું કે, કોઇ મારા વિશે કે કલાકારો વિશે કંઇ પણ બોલે ને તો ક્યારેય હું તેનો જવાબ સ્ટેજ પરથી નહીં આપું. કેમ કે સ્ટેજ પર અમને સારી વાતો અને ગીતો ગાવા માટે લોકો બોલાવતાં હોય છે. સમય વેડફાય એ યોગ્ય ન કહેવાય બાકી જો કોઇ ધર્મ ઉપર બોલે તો હું એને જાહેરમાં જવાબ આપું છું. 'માટલાં ઉપર માટલું' અને 'ચાંદ વાલા મુખડાં' જેવા હીટ ગીતો ગાનારા ગુજરાતી સિંગર દેવ પગલીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોંગ્રેસના નેતા કલાકારો માટે ખૂબ જ ખરાબ શબ્દો જાહેર મંચ પરથી બોલ્યા છે. કોઇપણ કલાકાર વિશે આવું બોલવું એ ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. સિંગર દેવ પગલીએ કહ્યું કે, તમને કોઇ બોલવાવાળું નથી એટલે તમે ગમે તેમ બોલો છો. આજના કલાકારો, સાહિત્યકારો કે જે પણ લોક ગાયકો છે તે ભગવતીના અને માતાજીના અને વીર સપૂતોના વખાણ કરી રહ્યાં છે કાલે ઉઠીને તમે તેમને પણ ખરાબ બોલશો? એમને તમે કહેશો કે આમ ન બોલવું જોઇએ, આમ ન કરવું જોઇએ તમે એમને પણ આવી રીતે વખોડશો? ખરાબ બોલનારાને શરમ આવવી જોઇએઃ દેવ પગલી‘કલાકારો સરસ્વતી માતાજીના ગુણગાન ગાવાવાળા વ્યક્તિઓ છે, કલાકારો તો જ્યાં પણ પ્રસંગમાં જાય તેમના વખાણ અને વાહ વાહ કરવી એ ફરજમાં આવે છે. તમે આટલું ખરાબ રીતે બોલ્યાં છો તો તમને તો શરમ આવવી જોઇએ. આ જે શબ્દો તમે બોલ્યાં છો તેનાથી ખબર પડે છે કે તમારાં મનમાં અને પેટમાં શું દુઃખી રહ્યું છે.’ કલાકાર સનાતન ધર્મને સાચવીને બેઠો છેઃ હકાભાલોક સાહિત્યકાર હકાભા ગઢવીએ લાલજી દેસાઇના બફાટ વિશે કહ્યું, મેં એ નેતાના બફાટનો વીડિયો સાંભળ્યો છે. તેઓ કલાકાર વિશે ખૂબ જ ખરાબ બોલ્યાં છે અને કલાકારોને ગાળો પણ બોલ્યાં છે પણ કહી દઉં કે કલાકારોને ગાળો આપવી એટલે સંસ્કૃતિને ગાળો આપ્યાં બરાબર છે. કલાકાર એટલે સંસ્કૃતિ છે એ સનાતન ધર્મને સાચવીને બેઠો છે. આ એમનું મૂર્ખતાભર્યું નિવેદન છે. કલાની શરૂઆત જ ભવાઇથી થઇ હતીઃ હકાભા'નેતા એવું કહે છે કે કલાકારો ભવાઇ કરે છે તો ભવાઈ એ જ કલા છે. કલાની શરૂઆત ત્યાંથી જ થઇ હતી આવું નિવેદન આપીને તેમણે ભવાઇનું પણ અપમાન કર્યું છે. તમે કહો છો કે કલાકારો વખાણ કરે છે તો હું ઉદ્યોગપતિ, રાજકારણ, સમાજના અને જે કોઇ પણ બોલાવશે અને પૈસા આપશે તો તેના બે શબ્દો સારા બોલીશું. અમે કોઇનું ખરાબ નહીં બોલીએ.' 'તમને કલાકાર વિશે કંઇ પણ કહેવાનો કોઇ અધિકાર નથી. જો તમને કોઇ કલાકાર ન ગમતો હોય તો તેને તમે કહો કે આ કલાકાર બરાબર નથી. બધા કલાકારો તો કંઇ એક સરખા નથી હોતા ને? અમે કોઇને છરી બતાવીને પૈસા નથી પડાવતાં.' અન્ય કલાકારોએ પણ બળાપો કાઢ્યોલોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં આ નિવેદનને લઇને બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસના નેતા ગુજરાતના કલાકારો વિશે એલફેલ શબ્દોનો ઉપયોગ કરે છે પણ કલાકાર છું એટલે કહેવું પડે છે કે, અમે સાધનાની ઉપાસના કરવાવાળા છીએ. અમે વાણીના ઉપાસક છીએ અને સંસ્કૃતિના રખેવાળ છીએ. જે શબ્દોનો પ્રયોગ ઘરમાં કે બહાર જાહેરમાં નથી કરી શકતાં એવા શબ્દનો પ્રયોગ તમે ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યો છે. અભિનેત્રી ભાવિની જાનીએ કહ્યું, કોંગ્રેસના આ નેતા ભરી સભામાં કલાકારો માટે જેમ તેમ બોલી રહ્યાં હતા કે હવે તો એવા ગીતો નિકળ્યાં છે કે, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી... તો એમાં ક્યાં ખોટું છે? આપણો ગુજરાતી જો એવરેસ્ટ પર જાય તો આપણે ગર્વ ન અનુભવીએ? તમે તમારી રીતે અનુભવો, અમારા કલાકારની આગવી અનુભૂતિ હોય. અમે અમારી લાગણી ભજવીને કે ગાઇને વ્યક્તિ કરીએ છીએ. અમને પ્રાઉડ છે કે અમારા ગુજરાતના લોકો છેક ક્યાં પહોંચ્યાં છે. આમાં શું ખોટું કર્યું? આ બન્ને વિવાદ હાલમાં ગુજરાતના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાઇ રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 6:00 am

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ

સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી તેલની હેરાફેરીમાં સંડોવણી ડિજિટલ સર્વેલન્સ અને દરિયાઈ કામગીરીનો ઉપયોગ કરીને ત્રણ જહાજોની જપ્તી, વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપાશે મુંબઈ - ભારતીય કોસ્ટ ગાર્ડે છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ એક જટિલ દરિયાઈ-હવાઈ નેટવર્ક કેન્દ્રિત કામગીરી દ્વારા આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ જહાજોએ સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોેની મોટી માત્રામાં દાણચોરી કરવાની અને આંતરરાષ્ટ્રીય પાણીમાં મોટર ટેન્કરોમાં મધ્ય સમુદ્ર ટ્રાન્સફર દ્વારા નફો મેળવવાની પદ્ધતિ વિકસાવી હતી. આ સિન્ડિકેટમાં વિવિધ દેશોના હેન્ડલર્સનું નેટવર્ક હોય છે, જે દરિયાઈ જહાજો વચ્ચે વેચાણ અને ટ્રાન્સફરનું સંકલન કરે છે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 5:30 am

આદિવાસી સંસ્કૃતિ પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:આદિવાસી સમાજના રીત-રિવાજો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક

વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ‘ભારતીય જ્ઞાન પરંપરા – દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર સી. પોરિયાના મુખ્ય ઉદ્બોધન સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારે વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે નવી દૃષ્ટિ વિકસાવી. કુલપતિ ડો. પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેમની પરંપરાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ જાળવણી, ગણિત અને ભૂમિતિના ઊંડા તત્ત્વો સમાયેલા છે. ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સમાજની પ્રાચીન વૈજ્ઞાનિક સમજનો જીવંત પુરાવો છે. આવા સેમિનારો દ્વારા નવી પેઢીમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધશે અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ થશે.નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આદિવાસી સમાજની વિધિ-વિધાન અને રીત-રિવાજો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક છે. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રેરક ઉદ્બોધન કર્યું.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું. મુખ્ય વક્તા તરીકે નાસિકની કોલેજના ડો. ભાગવત શંકર મહાલેએ મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. સાથે જ ડો. પુડલિક પવાર, ડો. જયંતીભાઈ ચૌધરી અને ડો. રાજેશભાઈ પટેલે વિષય નિષ્ણાત તરીકે પોતાના વિચારો રજૂ કર્યા. બે સત્રમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સંશોધન આધારિત પ્રસ્તુતિઓ કરી.કાર્યક્રમ દરમિયાન ‘વ્યુ ઓફ સ્પેસ રીસર્ચ જનરલ’ પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ર.ફ. દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસુભાઈ ભક્ત, ઉપાચાર્ય વસંત ગામીત, વિવિધ કોલેજોના આચાર્ય, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:14 am

108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:ડાંગમાં 108ની ટીમે રસ્તામાં કરાવી જોડિયા બાળકોની સફળ ડિલિવરી

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 108ની ટીમે દેવદૂત બનીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના ઢાઢરા ગામના રહેવાસી ઈસતેરબેન અજયભાઈ ખાસીયા (ઉં.વ. 24) ને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ EMT પ્રકાશ પટેલ અને પાઈલોટ સુભાષ રાઠોડ તાત્કાલિક દર્દીના ઘરે પહોંચ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. રસ્તામાં ચીચીનાગાવઠા ગામ પાસે પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા એમ્બ્યુલન્સને રસ્તામાં જ ઉભી રાખવાની ફરજ પડી હતી. બાળકોની નાળ વીંટળાયેલી હોવાથી સ્થિતિ ગંભીર હતી. જોકે, 108ની ટીમે અમદાવાદ હેડ ઓફિસના ડૉ. કૃષ્ણા સાથે ટેલિફોનિક સંપર્ક સાધી, તેમના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. પરિણામે, ઈસતેરબેને જોડિયા (જુડવા) બાળકોને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને બંને નવજાત શિશુઓને નજીકના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળકો બંને સ્વસ્થ છે. 108ની ટીમે બતાવેલી સમયસૂચકતા અને કુશળતા બદલ પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:13 am

‘મમતા મંદિર’ના દિવ્યાંગ બાળકોનો દબદબો:સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 104 મેડલ્સ જીત્યા‎

સ્પેશિયલ ખેલ મહાકુંભ - 2025 અને ઓલ ગુજરાત ચેમ્પિયનશીપમાં નવસારીના વિજલપોર સ્થિત ‘મમતા મંદિર' સંસ્થાના મૂક-બધિર બાળકોએ પોતાની પ્રતિભાના જોરે મેદાન મારી લીધું છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓમાં આ બાળકોએ કુલ 104 મેડલ્સ પ્રાપ્ત કરી નવસારી જિલ્લાનું નામ આખા રાજ્યમાં રોશન કર્યું છે. ​માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર.સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય અને મ.સ. કોઠારી મૂક-બધિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્વિતીય પ્રદર્શન કર્યું છે. તેમણે 39 ​ગોલ્ડ મેડલ, 28 ​સિલ્વર મેડલ અને 37 ​બ્રોન્ઝ મેડલ સાથે ​કુલ 104 મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. ​સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફના સહયોગથી રાજ્ય કક્ષાએ એથ્લેટીકસ, વૉલીબોલ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગણદેવી અને વડોદરામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આણંદમાં ચેસના ખેલાડીઓએ બુદ્ધિ ચતુરાઈ બતાવી હતી. સાબરકાંઠામાં વોલીબોલ સ્પર્ધામાં બાળકોએ જોર બતાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:11 am

શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

અમિત શર્માની આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે મુંબઈ - શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક રોમેન્ટિક - કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, અમિત શર્માની આગામી અનટાઇટ્ડ રોમેન્ટિક કોમેડીમાં લીડ રોલ કરશે.અમિત શર્મા અને શાહિદે હાલમાં જ કોકટેલ ટુનું શૂટિંગ પુરુ કર્યું અને આ પછી વધુ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકાએ PoK-અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો ગણાવ્યો; સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા; એપ્સટિન ફાઇલ્સમાં અનિલ અંબાણીની ચેટ્સ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનો નકશાને લઈને હતા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર સલમાન ખાનની RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. 2. જાપાનમાં સામાન્ય ચૂંટણીને લઈ તમામ 465 બેઠકો પર મતદાન થશે. કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન-ચીન સામે અમેરિકાનું 'ગદ્દર':અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ભારતના નકશામાં બતાવી દીધા; શાહબાઝ ને જિનપિંગ સમસમી ગયા ભારત અને અમેરિકાએ શુક્રવારે એક વચગાળાની ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કર્યું. આ જાહેરાત સાથે અમેરિકી ટ્રેડ ઓફિસ (USTR)એ ઇન્ડિયન મેપ શેર કર્યો. આ મેપમાં આખો જમ્મુ-કાશ્મીર પ્રદેશ, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) બતાવાયો છે, તેમને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. આ નકશો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. અમેરિકા પહેલાના નકશાઓમાં PoK ને અલગથી દર્શાવતું હતું. આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં પણ વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’થી દર્શાવવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, રશિયા પાસેથી ઓઈલ ખરીદી સામે નખાયેલો 25% ટેરિફ પણ હટાવાયો વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી 'માસ્ટરસ્ટ્રોક' ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યૂટી) ને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'લાંબી, ગોરી સ્વીડિશ યુવતી એરેન્જ કરો..':જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને 'મજેદાર' બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે. 9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન અનિલે એપસ્ટીનને પૂછ્યું- તમારું શું સૂચન છે? એપસ્ટીને જવાબ આપ્યો, મિટિંગને 'મજેદાર' બનાવવા માટે એક લાંબી સ્વીડિશ ગોરી યુવતી સારી રહેશે. અંબાણીએ જવાબ આપ્યો, ઓકે. એરેન્જ કરો. આ વાતચીત ત્યારની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા:મુંબઈમાં ભાગવતે કહ્યું- BJP સંઘનો રાજકીય પક્ષ નથી, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂરા થવા પર મુંબઈમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ થયા. તેઓ ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશી સાથે મંચની સામે બેઠા અને RSS પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ સાંભળ્યું. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. RSS કોઈના વિરુદ્ધ નથી અને ન તો તેને સત્તા કે પાવરની ઈચ્છા છે. સંઘ રાજનીતિમાં સીધા સામેલ નથી, જોકે સંઘના કેટલાક લોકો રાજનીતિમાં સક્રિય છે. ભાગવતે કહ્યું, ઘણા લોકો માને છે કે નરેન્દ્ર મોદી RSS ના કારણે વડાપ્રધાન છે. તેઓ એક પોલિટિકલ પાર્ટી ચલાવે છે, પરંતુ BJP એક અલગ સંસ્થા છે. તે RSS ની નથી, જોકે તેમાં અમારા સ્વયંસેવકો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત:USAને 29 રને હરાવ્યું; કેપ્ટન સૂર્યાની ફિફ્ટી, સિરાજની 3 વિકેટ ભારતે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી છે. શનિવારે છેલ્લી મેચમાં ટીમે અમેરિકાને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની પહેલી 4 વિકેટ માત્ર 46 રનમાં પડી ગઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. 162 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી. શુભમ રંજને અને સંજય કૃષ્ણમૂર્તિએ 37-37 રન બનાવ્યા. જ્યારે મિલિંદ કુમારે 34 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. માયાભાઈ આહીરનો પુત્ર જેલ બહાર, ભગવદ્ ગીતા બતાવી:બગદાણાના ચકચારી પ્રકરણમાં 14 દિવસ બાદ જામીન, હસીને હાથ મિલાવ્યા અને કારમાં બેસી રવાના થયો બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીના શરતી જામીન મંજૂર થયા છે. જયરાજ આહીરની આજે 14 દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી. જયરાજ જ્યારે જેલની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી હતી. કારમાં બેસી રવાના થતી સમયે પણ જયરાજે ભગવદ્ ગીતા બતાવી હતી. જેલમાંથી બહાર આવી એક યુવક સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય:CM ભૂપેન્દ્ર પટેલે ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’નું ખાતમુહૂર્ત અને 16 ફૂટ ઊંચા ‘અખંડ શક્તિ ત્રિશૂળ’નું અનાવરણ કર્યું યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં 7 ફેબ્રુઆરીએ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના ‘શ્રી શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળીયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જા હવે ગુજરાતની ધરા પર અવતરી છે. ઉત્તરકાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. આ એ જ ત્રિશૂળની પ્રતિકૃતિ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. આધ્યાત્મિક મર્યાદા જાળવવા તેની ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પટનામાં પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂનો કેસ:અડધી રાત્રે પોલીસ ઘરેથી લઈ ગઈ, સમર્થકોનો હોબાળો; સાંસદ બોલ્યા- મારી હત્યાનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મલેશિયામાં મોદીનું સ્વાગત કરવા માટે PM ઇબ્રાહિમ પોતે ગયા:મોદીને તેમની કારમાં બેસાડ્યા, મોદીએ કહ્યું, આ તેમનો ભારતીયો પ્રત્યેનો પ્રેમ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાનથી ઊડીને આવ્યું ફુગ્ગા સાથેનું બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઇ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું, 1 કલાક ઓપરેશન બંધ, 2 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઓબામા-મિશેલને 'વાનર' તરીકે દર્શાવ્યા, VIDEO:સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ડિલિટ કર્યો, વ્હાઇટ હાઉસે કહ્યું, સ્ટાફે ભૂલથી શેર કર્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આ અઠવાડિયે ₹94 હજાર ઘટીને ₹2.45 લાખ પર આવી:સોનું ₹14 હજાર ઘટીને ₹1.52 લાખ થયું, તમારા શહેરના સોનાના ભાવ જુઓ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચની આશા જાગી:શ્રીલંકા ક્રિકેટે કહ્યું- અમને રેવન્યુમાં નુકસાન થશે, PCBએ ખાતરી આપી- સરકાર સાથે વાત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના દેવ બુધનું ગોચર!:વૃષભ જાતકોનું કરિયર ટનાટન, કર્ક રાશિ પર થશે પૈસાનો વરસાદ; મહિનાના અંતે કુંભ રાશિમાં રચાશે દુર્લભ 'ચતુર્ગ્રહી યોગ' વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹20 માટે 4 વર્ષની સજા, નિર્દોષ સાબિત થતા જ મોત ગુજરાતના બાબુભાઈ પ્રજાપતિને 20 રૂપિયાની લાંચ લેવાના ખોટા કેસમાં 4 વર્ષની સજા મળી હતી. તેઓ તેની વિરુદ્ધ 30 વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ચક્કર લગાવતા રહ્યા. બીજી તરફ, 4 ફેબ્રુઆરીએ જેવા હાઈકોર્ટે તેમને નિર્દોષ સાબિત કર્યા, તેના બીજા જ દિવસે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બાંગ્લાદેશથી ભાસ્કર : ‘જમાત જીતે કે BNP, ડરથી હિન્દુ ધર્મ નહીં છોડીએ’: મંદિરો પર હુમલા, હત્યાથી ગભરાટ, BNPને વોટ આપી શકે છે હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન 2. આજનું એક્સપ્લેનર: વૈભવ-આયુષને નેશનલ ટીમમાં ક્યારે તક મળશે? કોહલી-યુવરાજ અંડર-19 વર્લ્ડ કપથી જ સ્ટાર બન્યા; ભારતીય ક્રિકેટને કેટલાં વર્ષનો ટેલેન્ટ પુલ મળ્યો 3. ચાર લેયર અને વચ્ચે પાણીવાળું ગુજરાતનું સિટી: સિંગોપોરથી પણ મોટું મોદીનાં સપનાનું ધોલેરા, પહેલીવાર જુઓ અંદરનો ડ્રોન વ્યૂ, ખારાપાટ ભાલની કાયાપલટ 4. એક્સક્લૂસિવ : લોથલની જમીનમાંથી સોનાના કણ મળ્યા: 65 વર્ષ બાદ ડ્રોન સર્વે, હાઇટેક ટેક્નોલોજીથી ખોદકામ; હડપ્પન સાઇટને 3 ભાગમાં વહેંચી પુરાતત્ત્વવિદોએ સંશોધન શરૂ કર્યું 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : સંદેશખાલી ગેંગરેપ- 2 પીડિતા પલટી, એક ગીતા પાઠ કરાવે છે: CBIને 50 ફરિયાદ મળી, પણ પીડિતાઓ ક્યાં; શાહજહાં, શિબુ અને ઉત્તમ જેલમાં બંધ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકો માટે ગ્રહની દશા અત્યંત અનુકૂળ, મિથુન રાશિના લોકોના કરિયરમાં સોનેરી ચમક રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:00 am

નિયુક્તિ:બોર્ડની ધો.10-12ની પરીક્ષા માટે પાંચ ઝોનલ અધિકારીની નિયુક્તિ

ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવાનો છે ત્યારે પરીક્ષાના આયોજન માટે અધિકારીઓની ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ધો.10માં ત્રણ અને ધો.12 માટે બે ઝોનલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત મહુવા અને તળાજામાં ઝોન કચેરી રહેશે. ધો.10 માટે ભાવનગર શહેરમાં બે ઝોનલ અધિકારી રહેશે જેમાં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય છે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે જી.જે.બારૈયા( આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, નવાપરા)ની નિયુક્તિ કરાઇ છે. જ્યારે માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ઝોનલ કચેરી છે જ્યાં યુવરાજસિંહ ઝાલા (સ.મા. શાળા, નેસવડ) અને મહુવામાં ઝોનલ કચેરી કે.જી.મહેતા કન્યા વિદ્યાલય ખાતે રહેશે જ્યાં ઝોનલ અધિકારી તરીકે જી.એલ.ડાંગોદરા(આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, ગળથર) રહેશે. ધો.12માં ભાવનગર ખાતે ઝોનલ કચેરી માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કાર્યરત રહેશે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે એસ.એમ.સૈયદ(આચાર્ય સ.મા.શાળા, બોરડી) રહેશે. તળાજા ખાતે મોડેલ સ્કૂલમાં ધો.12ની ઝોનલ કચેરી કાર્યરત રહેશે તેમાં ઝોનલ અધિકારી તરીકે પી.બી.મકવાણા (આચાર્ય મોડેલ સ્કૂલ, તલગાજરડા) કાર્યરત રહેશે તેમ ડીઇઓએ જણાવ્યું છે. ઝોનલ કચેરીની વ્યવસ્થા પરીક્ષાના સુચારૂ આયોજન માટે કરવામાં આવે છે જ્યાં દરરોજ પરીક્ષાના પેપર અને અન્ય વ્યવસ્થાનું સંકલન પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:54 am

શિક્ષણ પદ્ધતિમાં આધુનિક ટેકનોલોજીનો સુમેળ:લાખણકાના શિક્ષકનો AIનો શાળા કક્ષાએ અનોખો પ્રયોગ

ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં વલભીપુર તાલુકાની લાખણકા શાળાના શિક્ષક દ્વારા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ કૃતિએ શિક્ષણમાં AI ના ઉપયોગ દ્વારા 'ગોખણપટ્ટી' દૂર કરવાનો નવો રાહ ચિંધ્યો છે. જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , સિદસર દ્વારા આયોજિત 11મા ઐતિહાસિક જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ફેસ્ટિવલમાં શાળાના શિક્ષક અમરજીતસિંહ ગિરવાનસિંહ પરમારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: શિક્ષણનો સાથી શીર્ષક હેઠળ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. શિક્ષણ જગતમાં કઠિન વિષયવસ્તુનું સરળીકરણ, મૂલ્યાંકન અને લોકભાગીદારી જેવી સમસ્યાઓના નિરાકરણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મેળામાં, લાખણકા શાળાનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઈનોવેશન દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી કેવા બદલાવ લાવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:49 am

4.83 કરોડના ખર્ચે બનેલાં છાત્રાલયનું કરાયું લોકાર્પણ:હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા

ભાવનગર ખાતે રૂ. 4.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે આજે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.) નું લોકાર્પણ માત્ર એક ઈમારતનું લોકાર્પણ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર-દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સગવડ મળે તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું અને હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા છે તેમ જણાવ્યું હતું. ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ, બસિલ પાર્ક હોટેલની બાજુમાં આવેલ છે. આ છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરીને મંત્રીએ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અંદાજે પાંચ કરોડના ખર્ચે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજમાં સમાનતા, ન્યાય અને સશક્તિકરણનું સૌથી મોટું સાધન છે. આજે જે લોકાર્પણ થઈ રહ્યું છે તે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. કલેકટર ડૉ. મનીષકુમાર બંસલે આ હોસ્ટેલ 5 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની તથા લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના લાભાર્થી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:48 am

મંથર ગતિથી કામગીરી:વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલો છ વર્ષ થયા છતાં અધુરા..!

વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલોના કામને છ વર્ષ થયા છતાં પુલના કામો હજુ અધુરા છે. જેથી જાહનચાલકો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યાં છે. જયાં સુધી આ પુલોનું લીંકઅપ ફોરલેન સાથે નહીં થાય ત્યાં સુધી સાંકડા નાળાઓ ને કારણે ટ્રાફિક સમસ્યા રહેશે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવતા નદી નાળા અને કોઝવે ઉપરના પુલોને ઉંચા બનાવાનું કામ કોવીડ-19 ના સમય ગાળા પહેલા શરૂ થયું હતું અને કામ શરૂ થતા કોરોના વાયરસ દરમ્યાન લોકા ડાઉન થતા કામો અધુરા મુકી દેવામાં આવ્યા છે. અલબત્ત, ફોર લેનનું કામ હાલમાં સારી ઝડપે ચાલી રહ્યું છે પરંતુ ઉંડવી ભોજપરા થી લઇ ઘાંઘળી અને ચમારડી વચ્ચે નવા નિર્માણધીન પુલોની સંખ્યા ચાર થી પાંચની છે જે પુલો પૈકી એક પણ પુલોનું કામ પૂર્ણ થયું નથી. અને લોખંડની સળીયાઓ 6 વર્ષની કાટ ખાઇ રહ્યાં છે. ત્યારે આ સળીયાઓ ઉપર અધુરૂ બાંધકામ જયારે પણ શરૂ કરશે ત્યારે તે કેટલું મજબુત રહેશે અને થશે તે સમય કહેશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:46 am

કાયદાનો ભંગ:સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ

સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે, આ સામે પોલીસ તંત્રના મૌનથી નગરજનોમાં નારાજગી ફેલાઇ છે. અત્યારે શિયાળામાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. અને બીજી તરફ આગામી સમયમાં ફેબ્રુઆરીના અંતમાં ધોરણ :10 ને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. લગ્નની સિઝનમાં લોકોને ડી.જે.ના તાલે નાચવાનો એક અનેરો આનંદ હોય છે. પણ આ આનંદ ક્યારેક શોકમાં ફેરવાઇ જતો હોય છે. ડી.જે.ના અવાજની તીવ્રતા એટલી ભયાનક હોય છે કે ક્યારેક કોઇકનું હૃદય બેસી જતું હોય છે. બીજી તરફ આજુબાજુના રહીશોની શાંતિમાં પણ ડી.જે. ખલેલ પહોંચાડે છે. યક્ષ સવાલ એ છે કે લોકોની શાંતિમાં ભંગ પાડનાર ડી.જે. સામે પોલીસની કોઇ જવાબદારી જ નહીં. આગામી દિવસોમાં ધોરણ :10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. આ પરીક્ષા આ વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ હોય છે.આથી અત્યારે આ પરીક્ષાર્થીઓ 24 કલાકમાંથી 12-15 કલાક વાંચતા હોય છે. એમાંય રાત્રે અને વહેલી સવારે વાતાવરણ શાંત હોય છે આથી આ સમયગાળા દરમિયાન પરીક્ષાર્થીઓ વધારે વાંચવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અત્યારે લગ્નગાળાની પણ સિઝન ચાલી રહી છે. આથી જેમના ઘેર પ્રસંગ હોય તેઓ મોડે સુધી ડી.જે. વગાડતા હોય છે. પરંતુ આ ડી.જે.આ ઘરની આજુબાજુ રહેતા અનેક બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓની શાંતિમાં કેટલી ખલેલ પહોંચાડે છે એનો વિચાર કરતું જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘનદેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમે કોર્ટે પણ રાત્રે 10 વાગ્યા પછી ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં સરેઆમ તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઇ રહી છે. જાણે કે પોતાની કોઇ જવાબદારી જ ન હોય. મોટા માણસોના ઘેર પ્રસંગ હોય,તો તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને પણ ડી.જે.નો ઉપયોગ કરે છે. પરંતુ આ ડી.જે.કોઇની કારર્કિદી રોળી શકે છે એટલી સંવેદના લાવવી ક્યાંથી ?

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:45 am

જિલ્લામાં કાર્ગો ક્ષમતા વધશે:દરિયાઈ માળખાને સુદ્રઢ બનાવવા મહુવા બંદર માટે DPR પ્રક્રિયા શરૂ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા ખાતે બંદર વિકસાવવાની યોજના ઘોષિત કર્યા બાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) તૈયાર કરવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે. જીએમબી વડી કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર, મહુવા બંદર માટે સરકાર પણ સરકારાત્મક વલણ ધરાવે છે. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણના ભાગ રૂપે, રાજ્યએ દહેજ અને મહુવામાં બંદરો વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, જેનો હેતુ દરિયાઈ માળખાને વધુ મજબૂત બનાવવા, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા અને દરિયાકાંઠાના લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. પ્રસ્તાવિત વિકાસ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ટેકો આપવાના લાંબા ગાળાના ધ્યેય સાથે સુસંગત છે. મહુવા ખાતે પ્રસ્તાવિત બંદર વિકાસ પ્રોજેક્ટ્સ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. નેવિગેશનલ માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરશે અને લાંબા ગાળાની કામગીરી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા છે. દરમિયાન, મહુવા કૃષિ-ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક વેપારને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે ક્ષમતા વિસ્તરણ અને આધુનિકીકરણ માટે નોંધપાત્ર સંભાવનાઓ પ્રદાન કરે છે. દરિયાઈ ક્ષેત્રમાં વધતી ગતિને આધારે, ગુજરાત સરકારે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) સાથે મળીને, રાજ્યને બંદરો અને સંલગ્ન ઉદ્યોગો માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. આ દ્રષ્ટિકોણને કાર્યમાં પરિવર્તિત કરવા માટે, GMB એ બંને બંદરો માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) તૈયાર કરવા માટે એક વિશિષ્ટ સલાહકારને જોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ DPRs પ્રસ્તાવિત વિકાસના ટેકનિકલ, નાણાકીય, પર્યાવરણીય અને કાર્યકારી પાસાઓને આવરી લેતો વ્યાપક રોડમેપ પ્રદાન કરશે. પૂર્ણ થયા પછી, DPRs દહેજ અને મહુવા ખાતે આધુનિક, કાર્યક્ષમ, સુરક્ષિત અને ટકાઉ દરિયાઈ માળખાગત સુવિધા સ્થાપિત કરવા માટે પાયો બનાવશે. આ પહેલો વૈશ્વિક ઉદ્યોગ માપદંડોનું પાલન કરતી વખતે રાષ્ટ્રીય દરિયાઈ પ્રાથમિકતાઓ સાથે ગાઢ રીતે સંરેખિત થવાની અપેક્ષા છે, જે ભારતના બંદર-સંચાલિત વિકાસ એજન્ડામાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે. ગુજરાતમાં જહાજ નિર્માણ માટે સુવિધા વધશે2,340 કિલોમીટર લાંબા દરિયાકિનારા, મજબૂત બંદર માળખાગત સુવિધા અને સુસ્થાપિત ઔદ્યોગિક ક્લસ્ટરો સાથે, ગુજરાત મોટા પાયે જહાજ નિર્માણ અને દરિયાઈ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં કુદરતી લાભ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:40 am

સંગઠનમાં અસંકલન જોવા મળ્યું:ભાજપના નેતાઓના વિખવાદથી સંગઠનનું કોકડું ગૂંચવાયું

કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે અને કોર્પોરેશનની બોડીની મુદ્દત પણ 30 દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનની રચના લોચામાં પડી હોવાથી જાહેર થવામાં વિલંબ થયો છે. શહેર સંગઠનમાં મહામંત્રી પદ માટે પોતાના માણસને મુકવાની ખેચતાણમાં ભાવનગર ભાજપના અસંકલનનો વિવાદ છેક પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો છે. જોકે, થોડા દિવસમાં જ ભાજપ શહેર જિલ્લાના સંગઠનની જાહેરાત થવાની શક્યતા છે. ભાવનગર કોર્પોરેશનની વર્તમાન ટર્મની આગામી 9મી માર્ચે મુદ્દત પૂર્ણ થવાની છે. તે પહેલા જ ફેબ્રુઆરીના અંતમાં બજેટ મંજૂર કરી નાખવાની પણ હિલચાલ શરૂ છે. આંગળીને વેઢે ગણાય તેટલા દિવસો બાકી હોવાથી પ્રજાના પ્રતિનિધિઓ જે નિયમિત કોર્પોરેશનને જતા ન હતા તેના આટાફેરા પણ વધી ગયા છે. અને આગામી ટર્મમાં ટિકિટ મળે કે ન મળે તેનો ખ્યાલ નહીં હોવાથી આ 30 દિવસમાં પોતાના વિસ્તારના અને પોતાના કામ પતાવવા માટે કોર્પોરેશનમાં ઓડિંગ જમાવી રહ્યા છે. જ્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનની નવી રચના કઠોડે ચડી ગઈ છે. શહેર ભાજપ પ્રમુખની 6 માર્ચ 2025ના રોજ નિમણૂક થયા બાદ 11 મહિના થવા છતાં હજુ સુધી સંગઠનની રચના થઈ શકી નથી. સંગઠનના હોદ્દા માટે પ્રદેશ ભાજપ દ્વારા ઓપચારિકતાઓ પણ પૂર્ણ થયાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં કોઈ નિર્ણય પ્રદેશમાંથી થતો નથી. ખાસ તો ભાવનગર શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી કઈ જ્ઞાતિના અને કઈ વિધાનસભામાંથી લેવા તે માટે સ્થાનિક નેતાઓમાં ભારે ગડમથલ છે. શહેર સંગઠન, ધારાસભ્ય અને સાંસદ વચ્ચે મહામંત્રીની પસંદગીમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. સંગઠનના મુખ્ય હોદ્દામાં પોતાના અંગત વ્યક્તિને ઘુસાડવા માટે નેતાઓના હઠાગ્રહથી સંગઠનની રચના ડહોળાઈ ગઈ છે અને સમગ્ર પ્રક્રિયામાં હુંસાતુંસી ઘર કરી ગઈ હોય તેવુ લાગે છે. પરંતુ ગણતરીના દિવસોમાં જ ભાવનગર શહેર જિલ્લા ભાજપ સંગઠનની રચના જાહેર થાય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ચાર મહાનગરના ભાજપ સંગઠન જાહેર ચારની રાહગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એક પછી એક મહાનગર અને જિલ્લાના ભાજપના સંગઠનની જાહેરાત કરવામાં આવી રહી છે. જુનાગઢ, જામનગર, વડોદરા અને ગાંધીનગર મહાનગરની જાહેરાત થઈ ગઈ છે પરંતુ સુરત, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર મહાનગરની જાહેરાત થવાની બાકી છે. ક્ષત્રિય, કોળીમાંથી મન માન્યું પરંતુ પટેલ - બ્રાહ્મણમાં ખેંચતાણશહેર ભાજપના મહામંત્રી પદના મુખ્ય હોદ્દા માટે શહેર સંગઠન, ધારાસભ્ય અને સાંસદ તેમજ પૂર્વ પદાધિકારીઓ અને હોદ્દેદારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી પોતાના વ્યક્તિને બેસાડવા માટે ખેંચતાણ ચાલી રહી છે. હાલમાં ક્ષત્રિય અને કોળી સમાજમાંથી તમામ આગેવાનો વચ્ચે મન મનાવી લીધું છે. પરંતુ બ્રાહ્મણ અથવા પટેલ સમાજમાંથી કોઈ એકને મહામંત્રી પદે લેવા માટે દરેકના મત મતાંતર અલગ અલગ છે. જેથી ભાવનગર શહેર સંગઠનની જાહેરાત અટકીને ઊભી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:39 am

યુનિ.ના કુલપતિને રજૂઆત કરાઈ:યુનિ. કાર્યાલયની સામે ભાવેણા સ્ટેટ વખતનું મ્યુઝિયમ બનાવો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલય સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવા અંગે યુનિ.ના કુલપતિને ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલયની સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી યુવક કોંગ્રેસની માંગણી છે. કુલપતિને આ રજૂઆતમાં જણાવાયું છે કે ઈતિહાસ મુજબ ભારતની આઝાદી સમયે અખંડ ભારત માટે સૌ-પ્રથમ રાષ્ટ્ર માટે ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર રાજ્ય સમર્પિત કર્યું હતું. યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને ગુજરાત અને ભારતની વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, પ્રોફેસરો ભાવનગરની મુલાકાતે આવે ત્યારે યુનિવર્સીટી સામે જો ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ હોય તો તે ભાવનગરનો ઈતિહાસ સમજી-જાણી શકે તે માટે મ્યુઝીયમ બનાવવા યુવક કોંગ્રેસની માંગણી છે તેમ ભાવનગર શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:38 am

વીજચોરી ઝડપાઇ:ભાવનગર સર્કલમાંથી 2.27 કરોડની વીજચોરી ઝડપાઇ

GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં છેલ્લા એક સપ્તાહમાં PGVCL ભાવનગર સર્કલમાંથી કુલ રૂ.2.27 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCL ભાવનગર સર્કલમાં છઠ્ઠા દિવસે GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં મહુવા ડિવિઝન નીચેના મહુવા અને જેસર તાલુકાના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના મહુવા ડિવિઝન નીચે આવતા મહુવા ટાઉન, બગદાણા, જેસર, મહુવા રૂરલ-2 અને નેસવડ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.32.07 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં વિવિધ શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસમાં 77 ગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. PGVCL મહુવા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં મહુવા અને જેસર તાલુકામાં આવતા મહુવા શહેર ઉપરાંત મોણપર, જેસર, રાણીગામ, દાઠા અને નેસવડ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 11 એસ.આર.પી. જવાન, 7 GUVNL પોલીસ અને 6 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરવાની સાથે દરોડાની સમગ્ર કામગીરીનું 4 વિડિયોગ્રાફર દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. PGVCL મહુવા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 3, સ્થાનિકની 20 અને GUVNLની 12 ટીમો મળી કુલ 35 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મહુવા અને જેસર તાલુકામાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 376 રહેણાંકી, 22 વાણિજ્ય અને 25 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 67 રહેણાંકી, 4 વાણિજ્ય અને 6 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 77 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. છ દિવસમાં ક્યાં ડિવિઝનમાંથી કેટલી વીજચોરી ઝડપી

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:37 am

સન્ડે ફોટો સ્ટોરી:63 દિવસની સઘન સારવારથી 4 અપરિપકવ બાળકોને મળ્યું નવજીવન

4થી ડિસેમ્બર-2025ના રોજ કુદરતનો કરિશ્મા ગણી શકાય તેવી ઘટનામાં દોઢ દાયકા સુધી નિઃસંતાન રહેલા દંપતિ પર કુદરત મહેરબાન થતા તળાજા તાલુકાના ભાલર ગામની મહિલાને IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજન વાળા ચાર નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા ચાર નવજાત બાળકોને સર ટી. હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડૉ. મેહુલ એમ. ગોસાઈ સહિતના તબીબોની 63 દિવસની મહેનત અને આધુનિક સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ની પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે તબીબી ટીમ તથા પરિવારજનો સાથે ખુશીની ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:30 am

આગોતરૂ આયોજન:શિવરાત્રીના મેળામાં જવા ભાવનગરમાંથી 40 બસો દોડાવાશે

જૂનાગઢમાં મહાશિવરાતત્રીના યોજાનારા મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુચારૂ પગલાં લેવાયા છે તેમજ મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એસ. ટી. વિભાગ દ્વારા પણ અનેક બસોનું સંચાલન કરવામાં આવશે. ભાવનગર ડિવિઝન દ્વારા પણ મેળામાં જવા માટે 40 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી નો મેળો યોજવાનો છે. મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લાભ લે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પણ પૂરજોશમાં તડામાર તૈયારી ઓ કરવામાં આવ્યું છે. અને સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યા માં બસો નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર એસ.ટી.ડિવિઝન દ્વારા 40 બસો જૂનાગઢ ખાતે દોડાવવામાં આવનાર છે. જેમાં સૌથી વધુ 20 જેટલી બસો ભાવનગર એસ. ટી. ડેપોમાંથી મૂકવામાં આવશે. ખાનગી વહાણો દ્વારા ભાડાઓ વધારી દેવામા આવે છે ત્યારે એસ. ટી વિભાગ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સરકાર બસનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે. તદુપરાંત ભાવનગર ડિવિઝન ની 15 જેટલી બસો જૂનાગઢ ડિવિઝન ની ફાળવાઈ છે. આ સાથે જો શ્રદ્ધાળુઓનું સંખ્યા બળ વધશે તો હજુ પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે તેમ એસ.ટી.ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્યતાપૂર્વક યોજાવાનો હોય અત્યારથી જ ભાવિકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસ.ટી.ના 8 ડેપોમાં 40 બસો દોડાવાશે

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:28 am

ભાસ્કર વિશેષ:સુરતીઓને મોંઘવારી નડતી નથી, વર્ષ 2025માં 160 કરોડનું સોનું ખરીદ્યું, ગત વર્ષ કરતાં ડબલ, જીએસટી વિભાગ પણ 48 કરોડથી વધુ ટેક્સ કમાયું

સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં સોનાના ભાવ તો ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ તો જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય પરંતુ સુરતમાં ઉલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોનુ-ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયુ છે. ગત વર્ષે જ્યાં 70 કરોડનું વેચાણ થયુ હતુ ત્યાં આ વખતે 2025માં 160 કરોડથી વધુનું વેચાણ થયુ છે. જીએસટી વિભાગને આ વેચાણ પર ટેક્સ પણ 48 કરોડથી વધુનું મળ્યુ છે. ત વર્ષે સોનાનો સરેરાશ ભાવ 79 હજાર હતો, આજે 1.63 લાખ છે શહેરમાં 200થી વધુ વેપારી જીએસટીના જે એચએસએન કોડમાં સોના-ચાંદી અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેની સંખ્યા 200થી વધુ છે. આ ઉપરાંત જિલ્લામા પણ 70થી વધુ વેપારીઓ છે. અધીકારી સૂત્રો કહે છે કે સોના-ચાંદીના વેપારીઓએ જે વેચાણ થાય તેની પર ત્રણ ટકા ટેક્સ ભરવાનો હોય છે. એટલે કે ફાઇનલ બિલ પર લોકો પાસેથી ત્રણ ટકા જીએસટી વસુલવામા આવે છે. વર્ષ 85 કરોડથી વધુનુ વેચાણ હતુ જેની પર 25 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં તેમાં 160 કરોડથી વધુનુ વેચાણ થયુ છે. જેની પર 48 કરોડ જેટલો ટેક્સ આવ્યો છે. સોના-ચાંદીના જે ડેટા વિભાગ પાસે છે તેના કરતા માર્કેટમાં વેચાણ વધુ હોવાની આ આંકડાઓ પરથી લાગી રહ્યુ છે આથી કેટલાંક જ્વેલર્સ વિભાગને જરૂરી ડેટા આપી રહ્યા નથી એની પણ પ્રતિતિ થઈ રહી છે. એટલે જે વેચાણ થાય છે તે ચોપડા પર બતાવવામા આવતુ નથી. ખરીદીનો પર્પઝ પણ અલગ હોય છેલોકો બે રીતે ખરીદી કરે છે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે અથવા તો રોકાણ કરવુ હોય. સામાન્ય રીતે સોનાના ભાવ વધે તો લોકો ખરીદી ટાળવાની જગ્યાએ જરૂરિયાત ઘટાડીને પણ પ્રસંગ માટે ખરીદી કરતા હોય છે. ભાવ સતત વધતા ગયા તો બની શકે લોકો આ તરફ વળે. બીજા એ લોકો છે જે રોકાણ માટે કરતા હોય છે. - દીપ ઉપાધ્યાય, સી.એ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:23 am

હનિટ્રેપનો મામલો આવ્યો સામે:CCTV હેક કરી ડૉક્ટર મસાજ કરાવતા હોય તેવો વીડિયો બનાવી રૂપિયા પડાવવાનો કારસો

પાલડીમાં ક્લિનિક ધરાવતા તબીબને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડ્યંત્ર પકડાયું છે. ડૉક્ટર પાસેથી રૂ. 5 હજાર પડાવ્યા બાદ 40 હજાર માગીને સમાજ-મિત્રોના ગ્રૂપમાં ન્યૂડ ફોટો-વીડિયો વહેતાં કરવાની ધમકી આપી હતી. રોજ મળી રહેલી ધમકીથી ત્રસ્ત ડૉક્ટરે ફરિયાદ નોંધાવતાં પાલડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ક્લિનિકના સીસીટીવી કૅમેરા હેક કરી, અસલ વીડિયોમાં ચેડાં કરીને ડૉક્ટર ક્લિનિકમાં જ બોડી સમાજ કરાવતા હોવાના વીડિયો બનાવ્યા હતા. પાલડીમાં ક્લિનિક ધરાવતા 49 વર્ષના સીરાજભાઈ (49) (નામ બદલ્યું છે)ને 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યે વોટસએપમાં એક વીડિયો આવ્યો હતો. તેમાં 27 માર્ચ, 2025એ બપોરે 3.25 વાગ્યે ડૉક્ટર ક્લિનિકની પર્સનલ કેબીનમાં યુવતી પાસે બોડી મસાજ કરાવી રહ્યા હતા. આ સાથે લખાણ લખ્યું હતું કે અમારી પાસે તમારા આવા ઘણા ન્યૂડ વીડિયો - ક્લિપ છે. વીડિયો ડિલીટ કરવાના રૂ. 35 હજાર થશે. સાથે જ આ વીડિયો સમાજ-મિત્રોના ગ્રૂપમાં મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. એક ક્યુઆર કોડ સ્કેનર પણ મોકલ્યું હતું પરંતુ કોઈ મજાક કરતું હોવાનું માનીને પૈસા મોકલ્યા ન હતા. ત્યાર પછી બદનામ કરવાની ધમકી આપતાં ડૉક્ટર ગભરાઈ જતાં તેમણે સ્કેનરમાં રૂ. 5 હજાર મોકલ્યા હતા. એ પછી રૂ. 40 હજાર માગ્યા હતા. આ અંગે ડૉક્ટરે મિત્રોને વાત કરતાં તેમને સાથે રાખીને ડૉક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૅમેરા કેવી રીતે હેક કર્યા, વીડિયોમાં ચેડાંની તપાસ શરૂ કરાઈપોલીસ કહે છે, એક આરોપીની અટકાયત કરાઈ છે પણ ષડ્યંત્રમાં અન્યોની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ કૅમેરા કેવી રીતે હેક કર્યા અને વીડિયોમાં ચેડાં કરીને ન્યૂડ વીડિયો કેવી રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ફેસબુક પેજનો ફોટો મોકલીને ગઠિયાએ વિઝિટ કરવા કહ્યું હતુંઆરોપીએ ડૉક્ટરને ફેસબુક પેજનો ફોટો મોકલીને વિઝિટ કરવા કહ્યું હતું. ડૉક્ટરે વિઝિટ કરતાં તેમાં ક્લિનિકનું નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. ત્યાં ડોક્ટરને 3 વીડિયો પણ હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:17 am

અમદાવાદની 8 મહિલા વકીલે ફોર્મ ભર્યાં:પ્રથમ વાર 20 મહિલા બાર કાઉન્સિલની ચૂંટણી લડશે

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 30 ટકા મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરાતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 62 વર્ષના ઇતિહાસમાં 7 મહિલા વકીલ પ્રતિનિધિત્વ કરશે. તેમાં 5 મહિલા જીતશે જ્યારે 2 મહિલાની બીસીઆઇ દ્વારા કો-ઓપ્ટ તરીકે નિમણૂક કરાશે. 6 માર્ચે યોજાનારી ચૂંટણી માટે રાજ્યમાંથી 103 ફોર્મ ભરાયાં છે. પ્રથમવાર અમદાવાદની 8 સહિત કુલ 20 મહિલાએ ઝંપલાવ્યું છે. બાર કાઉન્સિલના સેક્રેટરી સિદ્ધિ ભાવસારે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હસમુખ પરીખ, મિલન પટેલ અને રશ્મિન જાનીની નિમંણૂક કરાઇ છે. ચૂંટણીમાં રાજ્યનાં 278 વકીલ મંડળના કુલ 76,579 મતદાર મતદાન કરશે. 150 મથકો બનાવાશે. અમદાવાદમાં જ માત્ર 2 મતદાન મથકો રહેશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા અટલ હોલમાં 14,679 મતદારો મતદાન કરશે જ્યારે હાઈકોર્ટ પરિસરમાં 3962 મતદારો મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:13 am

ભાસ્કર એક્સક્લુસિવ:ડાયાબિટીસ, હાઈ-બીપી, ગ્લુકોમા અને નજીકથી ફોન જોવાની ટેવને કારણે આંખમાં એટેક આવવાનું જોખમ

બાળકો અને યુવાનોમાં વધતા આંખના રોગો અંગે શહેરમાં બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. તેમાં થયેલી ચર્ચા પ્રમાણે મગજ અને હૃદયમાં બ્લોકેજ થતાં એટેક આવે છે, તેવી જ રીતે રેટીનામાં બ્લોકેજ થતાં આંખમાં એટેક આવે છે. આઇ સર્જન અને ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીની કોન્ફરન્સના માનદ્ સચિવ ડૉ. જગદીશ રાણા જણાવે છે કે આંખમાં આવતા એટેકને તબીબી ભાષામાં ‘રેટીના વેઇન ઓક્લુઝન’ કહે છે. કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને વિટ્રીઓ રેટીના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડૉ. પાર્થ રાણા જણાવે છે કે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ-બીપી સાથે નજીકથી ફોન જોવાની ટેવને કારણે આંખનો એટેક આવે છે. રેટીના વેન ઓક્લુઝન રોગ કેવી રીતે થાય છે? આ રોગના મહિને 4થી 5 કેસ આવે છેલક્ષણો શું છે? - અચાનક અથવા ધીમે ધીમે દૃષ્ટિ ઘટવી, ધૂંધળું દેખાવું, એક આંખમાં વધારે જોવા મળે. કોને થઈ શકે? - 50થી વધુ વયના હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધારે હોવું, ગ્લુકોમા, ધૂમ્રપાન, લોહી જાડું થવાની બીમારીના દર્દીને થઈ શકે. નિદાન કેવી રીતે થાય છે? - આંખની સંપૂર્ણ તપાસ, ઓસીટી સ્કેન, ફ્લોરેસીન એન્જિયોગ્રાફી, બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ ટેસ્ટથી રોગનું નિદાન થાય છે, સારવારથી રોગ સંપૂર્ણ મટતો નથી, પણ દ્રષ્ટિ સુધારી શકાય. નુકસાન અટકાવવા રૂ. 1 લાખનું એકથી લઇને ચારથી પાંચ ઇન્જેક્શન દર મહિનાને અંતરે અપાતા હોય છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:12 am

ઈગ્નુએ લોન્ચ કર્યો નવો કોર્સ:હવે ઘરે બેઠા ફેશન ડિઝાઈનર બનાશે, નવો ઓનર્સ કોર્સ લોન્ચ

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ફેબ્રુઆરી-2026ના સત્રથી 'બીએસસી (ઓનર્સ) ઇન ફેબ્રિક એન્ડ અપેરલ ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. 4 વર્ષીય આ સ્નાતક કાર્યક્રમ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટેક્સટાઈલ અને ફેશન ડિઝાઈનિંગની ઊંડી સમજ આપી ઉદ્યોગ માટે તૈયાર કરવાનો છે. કુલ 120 ક્રેડિટના આ પ્રોગ્રામમાં પ્રેક્ટિકલ સ્કીલ્સ પર વિશેષ ભાર મુકાયો છે. મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન અપાયો

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:06 am

જીટીયુ:ઇજનેરીનો અભ્યાસ છોડનારા વિદ્યાર્થી ગ્લોબલ પ્લેટફોર્મ થકી સ્કિલ કોર્સ કરી શકશે

જીટીયુમાં બીઈ, એમઈ, ડિપ્લોમા ઈજનેરીનો કોર્સ અધૂરો છોડી દેનારા વિદ્યાર્થીઓ હવે વિવિધ ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરી શકશે. જીટીયુના આ નિર્ણયના પગલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતનાં શહેરોની ડિપ્લોમા-ડીગ્રી ઇજનેરી, એમઈ કોલેજોના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે. એકેડમિક સેક્શન વિભાગે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણના અનુસંધાને મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ પૉલિસીને લગતા સુધારાની જાહેરાત અનુસાર જીટીયુ દ્વારા અપાતી મર્યાદિત સંસ્થાઓની યાદીના પગલે વૈશ્વિક સ્તરે ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને આઈટી, મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટરને લગતા આધુનિક અર્વાચિન કૌશલ્યો શીખવાની તક મળશે. આ રીતે જેમણે અભ્યાસ છોડયો છે તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો છોડયા પછીથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં રોજગારી મેળવવામાં સહાયભૂત સાબિત થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે ભાસ્કર ફર્સ્ટ પર્સનનિયમોમાં આ પ્રકારનો સુધારો કરવામાં આવ્યોઆ અગાઉમાં વિશિષ્ટ ક્ષેત્રને લગતા ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સની યાદી અપાતી હતી. ડિસેમ્બર, 2025માં મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે જીટીયુની ગાઇડલાઇનની સેકશન 6 (ડી)માં સુધારો કરાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ પસંદગી મુજબ માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ પરથી 6થી આઠ ક્રેડિટના કોર્સ પોતાની રીતે પૂર્ણ કરી શકશે. - ડો. રીમા જોષી, સ્કિલ સ્પેશિયાલિસ્ટ, આસિ. પ્રોફેસર, બી જે મેડિકલ કૉલેજ

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:05 am

નોકરી ન્યુઝ:NIAમાં 88 જગ્યા ભરાશે 1.42 લાખ સુધીનો પગાર

ગુજરાત પોલીસના ‘સુપર કોપ્સ’ માટે હવે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે દેશની પ્રીમિયર તપાસ એજન્સી NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. એનઆઈએમાં વિવિધ 88 જગ્યાઓ ભરાશે. જેમાં પસંદગી પામનાર અધિકારીઓને સાતમાં પગાર પંચ મુજબ 1.42 લાખ સુધી પગાર મળવાપાત્ર થશે. ભરતી પ્રક્રિયામાં લાયકાતના ધોરણોમાં ગ્રેજ્યુએટ સાથે ધોરણ-12 પાસ એવા પોલીસ કર્મચારીઓ કે જેમને ઈન્વેસ્ટિગેશન કે પછી ઈન્ટેલિજન્સનો અનુભવ હોય તે ફરજિયાત છે. ખાસ આતંકવાદ વિરોધી કામગીરી કે ગુના શોધવાની કળામાં માહેર પોલીસકર્મીઓ માટે શ્રેષ્ઠ તક છે. ઈન્સ્પેક્ટરથી હેડ કોન્સ્ટેબલમાં કેટલી જગ્યા ભરાશે

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:03 am

ભાસ્કર એક્સક્લુસિવ:કોર્પોરેટ વર્લ્ડના પ્લેસમેન્ટમાં 6 વર્ષ દરમિયાન CMAને જોબ ઓફરમાં 40 ટકાનો વધારો

કોર્પોરેટ વર્લ્ડમાં નાણાંકીય વ્યવસ્થાપન, ખર્ચમાં ઘટાડો કરવા સહિતની વિવિધ બાબતોને લગતા નિષ્ણાતોની વધેલી માંગેને પગલે સીએમએ (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ના છ વર્ષોના પ્લેસમેન્ટમાં કરાતી જોબ ઓફરની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. સીએમએ પાસ આઉટ ઉમેદવારોને પાંચ વર્ષોમાં 13થી વધુ સેક્ટરની કંપનીઓએ વાર્ષિક 5થી 16 લાખ સુધીનું પેકેજ ઓફર કરાયું છે. ચાલુ વર્ષે સર્વાધિક એટલે કે વાર્ષિક 12.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. સારા પગાર સાથે સીએમએના પ્લેસમેન્ટના આ રહ્યાં કારણો વર્ષ પ્રમાણે કરાયેલી જોબ ઓફર્સ અને પેકેજ આ 13થી વધુ સેક્ટરની કંપનીએ જોબ પાસઆઉટ ઉમેદવારોને ઓફર કરીટેલિ કોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, બેન્કિગ, કેમિકલ્સ, એનબીએફસી કન્સલ્ટન્સી ફર્મ, પ્લાસ્ટિક, કન્સ્ટ્રકશન, પેકેજિંગ, ઓટોમોબાઈલ,ગ્રીન એનર્જી, ડેરી પ્રોડક્ટ,હોટલ ઈન્ડસ્ટ્રીઝસ, લોજિસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

એલસીબીની કાર્યવાહી:સ્મશાનની ઓરડીમાંથી વિદેશી દારૂના 956 ચપટા મળી આવ્યા

રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર દરોડો પાડી ઓરડીમાં રાખેલ વિદેશી દારૂના 956 ચપટા એલસીબીએ કબ્જે કર્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે રાણા વડવાળા ગામ બાયપાસ નજીક પહોંચતા બાતમી મળેલ કે, રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કોઇએ વેચવા માટે છુપાવેલ છે. જેથી સ્ટાફે સ્મશાનની ઓરડીની છત પર તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ 20 જેમાં 956 ચપટા મળી આવતા પોલીસે કુલ રૂ. 2,86,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આ સ્થળે કોઈ શખ્સ મળી આવેલ ન હોય જેથી અજાણ્યા શખ્સ વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મનપાએ ચેકીંગ ઝુંબેશ આદરી:4 સ્થળેથી 80 મણ ઘાસચારો જપ્ત‎કરી ગૌશાળા ખાતે મોકલી દેવાયો‎

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આમછતાં ઘાસચારો વેંચાઈ રહ્યો છે ત્યારે મનપા ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 4 સ્થળેથી જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી સ્વરૂપે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો નાખવાથી પશુઓ એકત્ર થાય છે અને રોડ પર અડ્ડો જમાવી બેસે છે જેને કારણે લોકોને મુશ્કેલી પડે છે. જેને કારણે કલેક્ટર દ્વારા પશુઓને જાહેર સ્થળ પર ઘાસચારો ન નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના અમલીકરણ માટે મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને થોડા મહિનાથી ચેકીંગ બંધ કર્યું હતું ત્યારે ફરી ચેકીંગ કામગીરી શરૂ કરી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ઓફિસર જગદીશ ઢાંકીની સૂચનાથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વનરાજ ટીંબા સહિતની ટીમ દ્વારા ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમ્યાન વિવિધ વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચતા શખ્સો મળી આવતા, તેઓની સામે કાર્યવાહી કરી કુલ 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરી આ ઘાસચારો મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે પશુઓ માટે મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરનાર 24 વેપારીને‎રૂ.16,300નો દંડ ફટકારી 868 કિલો પ્લાસ્ટિક જપ્ત

પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ મૂકવા માટે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર ગત જાન્યુઆરી માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ગ્રાહકોને આપતા હોય તેવા 24 વેપારી ઝડપાયા હતા. તેમની પાસેથી વહીવટી ચાર્જ તરીકે રૂ.16,300 વસૂલ કરી, અંદાજે 868 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર, જાહેર સ્થળોએ દબાણ કરનાર તથા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 30 વ્યક્તિ સામે કાર્યવાહી કરી રૂ. 10,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.મનપાએ જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે આવી ઝુંબેશ નિયમિત રીતે આગળ પણ ચાલુ રાખવામાં આવશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો ડસ્ટબિનમાં જ નાખે અને ડોર-ટુ-ડોર કચરા વાહનમાં જ ઠાલવવામાં આવે તેવી અપીલ પણ કરી છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે રૂ. 100થી લઈને રૂ.5,000 સુધીનો દંડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

આર્થિક સ્થિતિ કફોડી બની‎:ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળી ગોડાઉન સુધી પહોંચડનાર ટ્રક ચાલકોને ભાડું ન ચૂકવાયું

પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી સેન્ટરમાં ખરીદી કરેલ મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસ ભાડાનું પેમેન્ટ ન ચુકવવામાં આવતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.જેથી ટ્રક ચાલકો ભાડા ચૂકવવા માંગ કરી હતી. પોરબંદરના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી.પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીને ગોડાઉનમાં પહોંચાડવા માટે ટ્રક મારફતે મગફળી પહોંચડવામાં આવી રહી છે.ત્યારે મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસથી ભાડાની રકમ ન ચુકવવામાં આવતા હાલ આ ટ્રક ચાલકોને ડિઝન સહિતના પેમેન્ટ માટે આર્થિક સ્થિતિ દયનિય બની છે તો આ ટ્રક ચાલકો અવાર નવાર ભાડાના પૈસા ચૂકવવા માગણી પણ કરવામાં આવી હતી તેમછતાં રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી જેને લઈને ટ્રક ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.તેમજ આ ટ્રક મગફળીના ભરેલા પણ 7 થી 8 દિવસ સુધી પડ્યા રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મગફળી ભરેલ છેલ્લા 7 થી 8 દિવસથી ભરેલો પડ્યો છે. તેને ખાલી કરવા માટે કોઈ જવાબ મળી રહ્યો નથી .છેલ્લા બે મહિનાથી ટ્રક ચલાવી રહ્યા હોવા છતાં, હજુ સુધી તેમને પૂરતું પેમેન્ટ મળ્યું નથી.જયારે ટ્રાન્સપોર્ટર ને ફોન કરે ત્યારે ગોડાઉન ખાલી ન હોવાનું અને પૈસા આવ્યા ન હોવાનું જણાવી દેવામાં આવે છે ડ્રાઈવરો પાસે ડીઝલ, સીલક કે જમવા માટે પણ પૈસા નથી ટ્રક પડતર હોવા છતાં પડતર ભાડું પણ આપવામાં આવતું નથી. > અભેશ ઓડેદરા,ટ્રકચાલક

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

દર્દીઓને મુશ્કેલી:સરકારી હોસ્પિટલમાં લોહીમાં ઓક્સિજન માપવાનુ એબીજી રિપોર્ટનું મશીન બંધ

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવાનું એ.બી.જી.ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી તેમજ આઈ.સી.યુ.વિભાગમાં ઉપલબ્ધ આ ટેસ્ટના મશીનમાં ટેસ્ટ ન થતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોકટરની વિવિધ વિભાગમાં નિમણૂક થતાની સાથે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોસ્પિટલમાં હાલ ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ લેબોરેટરીમાં ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવા ઉપયોગી એવા એબીજી રિપોર્ટ છેલ્લા 10 દિવસથી થતા નથી. ભાવસિંહજી હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ અન્ય વિભાગમાં વેન્ટીલેટર તેમજ બાયપેપ મશીનમાં રહેલ ગંભીર પ્રકારના દર્દીઓના આ ટેસ્ટ કરવામાં આવે છે.ત્યારે હોસ્પિટલમાં આ ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને ફરજીયાત બહારની લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવાની ફરજ પડે છે. ખાનગીમા એક ટેસ્ટના રૂ.800 થી 1000 ખર્ચે થાય છેપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલની લેબોરેટરી તેમજ આઇ.સી.યુ.તેમજ લેબોરેટરી વિભાગમાં લોહીમાં.ઓક્સિજન માપવાનો એબીજી ટેસ્ટ ન બંધ છે જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે.ખાનગી લેબમાં એક ટેસ્ટ રૂ.800 થી 1000 ખર્ચે થાય છે. ખાનગી લેબોરેટરીના એમ.ઓ.યુ.કરાયા છે હોસ્પિટલમાં 2 જગ્યા પર મશીન ઉપલબ્ધ છે.પરંતુ આ ટેસ્ટ માટેની કીટ મોંઘી અને નિયર એકસપાયરી આવતી હોવાથી કીટ ઓછી મગાવીએ છીએ.એટલે કીટ ખલાસ થઈ જવાથી ટેસ્ટ બંધ હતા પરંતુ કોઈ કારણોસર હોસ્પિટલમાં કોઈપણ ટેસ્ટ ન થાય તો ખાનગી લેબોરેટરીમાં પણ એમ.ઓ.યુ.કરાયેલ છે. > ડો.ગૌરવ ભંભાણી, એમ.એસ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રોજગાર માટે થતી હિજરતને પરિણામે છેલ્લા 10 વર્ષમાં જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ

પોરબંદર જિલ્લામાં ઉદ્યોગો મૃતપ્રાય થઈ રહ્યા છે અને ઉદ્યોગ ન હોવાને કારણે લોકો હિજરત કરે છે. રોજગાર માટે અન્ય જિલ્લામાં હિજરત થતી હોવાને કારણે છેલ્લા 10 વર્ષમાં પોરબંદરની કુલ 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાને બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં સરેરાશ દર વર્ષે 5 સરકારી શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા ધબડક થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 35 વર્ષમાં એકપણ મોટા ઉદ્યોગ આવ્યા નથી. ભૂતકાળમાં જે મોટા ઉદ્યોગ હતા તે બંધ થયા હતા અને હાલ જે ઉદ્યોગ છે તે પણ મૃતપ્રાય અવસ્થામાં છે. જિલ્લામાં ખેતી અને પશુપાલન તેમજ માછીમાર ઉદ્યોગ આવેલ છે તેમાં પણ વાતાવરણની અસરના કારણે માછીમાર ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી જ્યારે ચોમાસા દરમ્યાન માવઠાને કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી. શહેરમાં હાલ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે ત્યારે મજૂરો પણ બેરોજગાર થયા છે. મંદીના કારણે અને રોજગારી મળતી ન હોવાથી નાનો અને મધ્યમ વર્ગ હિજરત કરી રહ્યો છે, જેની અસર 10 વર્ષમાં જોવા મળી છે. રોજગાર માટે થતી હિજરતના પરિણામે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓને બંધ કરવામાં આવે છે ત્યારે વર્ષ 2016થી દર વર્ષે સરેરાશ 5 શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા બંધ થઈ છે. હિજરતથી પોરબંદર જિલ્લો પાયમાલ થઈ રહ્યો છે. જિલ્લાની કઈ સરકારી શાળા બંધ થઈ ? વર્ષ 2016 થી પોરબંદર જિલ્લાની પ્રાથમિક સરકારી શાળા બંધ થઈ છે જેમાં ટુકડા મિયાણી સીમ શાળા, વિસાવાડા સીમ શાળા, દેગામ સીમ શાળા 1, સાતવીરડાનેસ પ્રાથમિક શાળા, બોરીયા વાળો નેસ પ્રા. શાળા, આજમાપટ નેસ પ્રા. શાળા, પથકડા સીમ પ્રા. શાળા, મહિરા સીમ શાળા, કુણવદર સીમ શાળા 1, કંડોરણા સીમ શાળા નંબર 3, કુણવદર સીમ શાળા 2, ચામુંડા સીમ શાળા, રાજમહેલ પ્રાથમિક શાળા, તાલીપટ્ટી સીમ પ્રા. શાળા મોકર, ધ્રુવાળા સીમ પ્રા. શાળા, કરાર સીમ શાળા, સીશોર સીમ શાળા, નંદેશ્વર પ્રાથમિક શાળા, ભોમિયાવદર સીમ શાળા 3, ભેટકડી સીમ શાળા, અડવાણા સીમ નંબર 2, રાણા રોજીવાડા સીમ શાળા 1, સિસલી સીમ શાળા, નીલકંઠ સીમ શાળા અને સોઢાણા સીમ શાળા બંધ થઈ છે. હિજરત માટે કયા પરિબળ ભાગ ભજવે છે ?સરકારી અને ખાનગી શાળાઓ બંધ થતી જાય તેની પાછળ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળા બંધ કરવામાં આવી છે. સરકારી તેમજ ખાનગી શાળા પણ બંધ થવાનું કારણ હિજરત પણ હોય છે. પોરબંદર જિલ્લામાં સાડા ત્રણ દાયકાથી એકપણ ઉદ્યોગ આવ્યો નથી. રોજગારી મળતી ન હોવાથી પરિવારો અન્ય જિલ્લામાં હિજરત કરે છે, આ ઉપરાંત કુટુંબ નિયોજનના ફેલાવાની જાહેરાતની લાંબાગાળાની અસર પણ જોવા મળે છે. હવે લોકો એક જ સંતાન પ્રાપ્ત કરે છે જેથી બાળકોની સંખ્યા પણ ઓછી થતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટે છે. >ડો. ભુપેન્દ્રસિંહ જાડેજા, પ્રોફેસર, એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am