જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના નવીનીકરણ અને આગામી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઓપરેશન થિયેટરોનું આધુનિકીકરણસિવિલ હોસ્પિટલમાં હાલ સારવારની ગુણવત્તા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના કુલ 13 ઓપરેશન થિયેટરને અત્યાધુનિક બનાવવામાં આવશે. જેમાંથી 7 ઓપરેશન થિયેટરને રિનોવેટ કરવામાં આવશે, જ્યારે 6 નવા ઓપરેશન થિયેટરોનું નિર્માણ કરવામાં આવશે. આ હાઈ-ટેક ઓપરેશન થિયેટરથી માત્ર દર્દીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ મેડિકલ કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓ પણ આધુનિક ટેકનોલોજી સાથે ઓપરેશનનો અનુભવ મેળવી શકશે. આ કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. ત્રણ જિલ્લા માટે જૂનાગઢ બનશે મેડિકલ હબધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાએ દવાઓ માટે રાજકોટ પર નિર્ભર રહેવું પડતું હતું. ઘણીવાર સમયસર દવાઓ ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી. હવે સરકારે જૂનાગઢ ખાતે જ આ ત્રણ જિલ્લાઓ માટે 'રિજીયોનલ ડ્રગ ડેપો' મંજૂર કર્યો છે. આ સાથે જ ફૂડ અને ડ્રગ્સની લેબોરેટરી પણ અહીં જ કાર્યરત થશે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે જૂનાગઢ હેડક્વાર્ટર તરીકે ઉભરી આવશે. ક્રિટિકલ કેર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સુવિધાગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 50 બેડની અલાયદી 'ક્રિટિકલ કેર હોસ્પિટલ'નું નિર્માણ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જૂનાગઢ મેડિકલ કોલેજમાં પીજી (Post Graduation) કોર્સ શરૂ થવાથી હવે સિવિલ હોસ્પિટલમાં એમડી (MD) કક્ષાના નિષ્ણાત ડોક્ટરો ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. આ સુવિધાને કારણે હૃદયરોગ, અકસ્માત કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને રાજકોટ કે અમદાવાદ રિફર કરવાની જરૂરિયાત નહિવત થઈ જશે. નર્સિંગ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સહોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. 250થી વધુ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ રહી શકે તે માટે આધુનિક નર્સિંગ હોસ્ટેલ અને બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, જેની વહીવટી મંજૂરી પણ મળી ચૂકી છે. ટૂંક સમયમાં તેનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવશે. ગરીબ દર્દીઓને મળશે 'વર્લ્ડ ક્લાસ' મફત સારવારધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે જે સારવાર એક ઉદ્યોગપતિ કે અમીર વ્યક્તિ લઈ શકે, તેવી જ શ્રેષ્ઠ સારવાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિને મફતમાં મળે. આ સૂત્રને સાર્થક કરવા જૂનાગઢ સિવિલમાં તમામ સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. જૂનાગઢ હવે માત્ર આસપાસના જિલ્લાઓ માટે જ નહીં પણ 'મિની સૌરાષ્ટ્ર'ના કેન્દ્ર તરીકે શ્રેષ્ઠ સારવાર આપવા સજ્જ છે. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, મેડિકલ કોલેજના ડીન અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં આ તમામ પ્રોજેક્ટ્સ લોકાર્પિત થતા જૂનાગઢની આરોગ્ય સેવામાં ક્રાંતિકારી ફેરફાર જોવા મળશે.
દહેગામ પોલીસે ત્રણ વર્ષથી ફરાર બળાત્કાર (પોક્સો) કેસના આરોપીને પકડવા માટે ફિલ્મી સ્ટાઈલમાં અનોખું ઓપરેશન પાર પાડ્યું છે. ફુગ્ગા, શાકભાજી અને કટલરી વેચનારા બનીને મહેસાણાના ટી.બી. રોડ પર વોચ ગોઠવી પોલીસે આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભયજી ભીમસિંહ ચૌહાણ (યુવરાજસિંહ ભીમસિંહ ચાવડા)ને એકાએક ઘેરી લીધો અને ઝડપી પાડ્યો છે. ASP આયુષ જૈનના માર્ગદર્શનમાં પીઆઈ મુકેશ દેસાઈની સર્વેલન્સ ટીમે આ માસ્ટર પ્લાન ઘડીને ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મના દૃશ્યો જેવું જ એક ઓપરેશન ગાંધીનગરની દહેગામ પોલીસ ટીમે પાર પાડ્યું છે. મહેસાણાના રસ્તાઓ પર ફુગ્ગા, શાકભાજી અને કટલરી વેચનારા બનીને વોચ ગોઠવી પોલીસે ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપીએ ભૂતકાળમાં એક સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુંઆ અંગે દહેગામ પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, દહેગામ કૃષ્ણનગર કોઠીમાં રહેતા આરોપીએ ભૂતકાળમાં એક સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ કારણોસર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધી તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને સજા ફટકારતા તે જેલમાં સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન રીઢા ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં પેરોલઝમ કરીને ચંબલની ઘાટીમાં છ મહિના સુધી છુપાઈ રહ્યો હતો. પોતાનું નામ યુવરાજસિંહ ચાવડા રાખીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લપાતો છુપાતો રહેતો હતો. આ દરમિયાન સર્વેન્સ સ્ક્વોર્ડના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ કાળાભાઈને બાતમી મળી હતી કે, આ આરોપી મહેસાણા ખાતે તેના મિત્રને ટી.બી. રોડ પર મળવા આવવાનો છે. જે ચોક્કસ બાતમીના આધારે દેહગામ પોલીસની ટીમે અલગ-અલગ વેશ ધારણ કરીને બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો હતો. જામીન મળતા જ ઓળખ બદલીને આરોપી ફરારપોલીસના ઓપરેશનની વાત કરીએ તો વર્ષ 2021માં દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર (પોક્સો)ના ગુનામાં આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભયજી ભીમસિંહ ચૌહાણને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો હતો. આરોપી કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. આ પેરોલ જેંપ દરમ્યાન તે છૂટક દારૂનું વેચાણ કરીને ગુજરાન ચલાવી રાખતો હતો. બાદમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ હાઈકોર્ટ દ્વારા તેને ટૂંકા ગાળાના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. અલગ-અલગ શહેરોમાં છૂટક મજૂરી કરીને સ્થળાંતર કરતો જોકે, જામીનની મુદત પૂરી થયા બાદ આ કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.પોલીસની પકડથી બચવા માટે ધનપાલસિંહે પોતાની જૂની ઓળખ સાવ ભૂંસી નાખી હતી. ફક્ત એટલું જ નહીં તેણે પોતાનું નામ બદલીને ‘યુવરાજસિંહ ભીમસિંહ ચાવડા’ (રહે. સનાથલ) રાખી લીધું હતું અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં છૂટક મજૂરી કરીને સ્થળાંતર કરતો રહેતો હતો જેથી પોલીસ તેને શોધી ન શકે. ફરાર આરોપીને પકડવા પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાનદહેગામ ASP આયુષ જૈનના માર્ગદર્શનમાં પીઆઇ મુકેશ દેસાઈની ટીમે આ આરોપીને પકડવા માટે જાળ બિછાવી હતી. દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા બાતમી મળી હતી કે, આરોપી મહેસાણાના ટી.બી. રોડ વિસ્તારમાં આવવાનો છે પરંતુ, આરોપી ચબરાક હોવાથી જો પોલીસ યુનિફોર્મ કે સામાન્ય વાહનમાં જાય તો તે ભાગી જાય એવી પૂરી શક્યતા હતી. આથી દહેગામ સર્વેલન્સ ટીમે એક માસ્ટર પ્લાન ઘડ્યો હતો. આરોપી બજારમાં આવતા જ પોલીસકર્મીઓએ દબોચી લીધોપોલીસ ટીમના માણસોએ રસ્તા પર સામાન્ય શ્રમિકોના વેશ ધારણ કર્યા હતા. જેમાં કોઈ પોલીસકર્મી શાકભાજીની લારી લઈને ઊભો રહી ગયો.કોઈએ સાયકલ પર કટલરીનો સામાન વેચવાનું શરૂ કર્યું હતું તો કોઈ રમકડાં વેચનારો બન્યો તો કોઈ રંગબેરંગી ફુગ્ગા લઈને રસ્તા પર વોચ ગોઠવીને બેસી ગયો હતો. આ દરમિયાન ટી.બી. રોડ પર જ્યારે આરોપી ધનપાલસિંહ બેફીકર થઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફુગ્ગા અને શાકભાજી વેચતા વેશમાં રહેલા પોલીસકર્મીઓએ એકાએક તેને ચારેબાજુથી ઘેરી લીધો હતો. હજી આરોપી કંઈ સમજે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, દોઢ દિવસ સુધી પોલીસે શાકભાજી, કટલરી, રમકડા અને ફુગ્ગા વેચ્યા હતા અને દોઢ દિવસમાં આશરે સાતસો થી આઠસો રૂપિયા ની આવક પણ થઈ હતી. જે પૈસા જેતે લારી વાળાને પરત પણ આપી દીધા દેવાયા હતા. આરોપીની ધરપકકડ કરી અમદાવાદ જેલ મોકલી આપવાની કાર્યવાહી શરુતે પોતાની નવી ઓળખ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, પોલીસે સચોટ પુરાવાઓ સાથે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ વર્ષથી પોલીસ સાથે સંતાકૂકડી રમતા આ કેદીને ઝડપી પાડીને દહેગામ સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ આરોપીને ફરીથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં એ.હેડ.કોન્સ સચિનકુમાર, અ.પો.કો. સોહિલસિંહ, અનિલભાઈ અને વેશીભાઈ સહિતની ટીમે જીવના જોખમે કામગીરી કરી હતી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 (જાહેરાત ક્રમાંક: 27/2025-26)ની પ્રિલિમિનરી પરીક્ષા 4 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગર શહેરના 14 વિવિધ મતદાન મથકો પર યોજાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરે 2 વાગ્યા પછી આ 14 કેન્દ્રોમાં બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) ઉપસ્થિત રહેશે, જેથી મતદારો તાત્કાલિક મતદારયાદી સુધારણા સંબંધિત રજૂઆત કરી શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (Special Intensive Revision - SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી, 2026 સુધી નિર્ધારિત છે. આ અનુસંધાને ભાવનગર જિલ્લામાં 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે. આ ખાસ ઝુંબેશ દરમિયાન નવા મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે જરૂરી ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા બાદ પરીક્ષા કેન્દ્રો પર બી.એલ.ઓ.ની ઉપસ્થિતિને લઈને મતદારોને સરળતા રહેશે. પરીક્ષા યોજાશે તે 14 મતદાન મથકો નીચે મુજબ છે: આ ઝુંબેશ દરમિયાન મતદારોને મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારા કરાવવા અથવા નામ કાઢવા માટેની સુવિધા મળશે, જેથી મતદારયાદીને વધુ સચોટ અને સંપૂર્ણ બનાવવામાં મદદ મળશે.
મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે એક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લુણાવાડાના ચારકોશીયા નાકા ટ્રાફિક પોલીસ ચોકી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ, એઆરટીઓ અને મહાકાલ સેના દ્વારા સંયુક્ત રીતે વાહનચાલકોને સેફ્ટીગાર્ડનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં યોજાયો હતો. ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે અનેક વાહનચાલકો ગંભીર રીતે ઘાયલ થાય છે, અને કેટલીકવાર જાનહાનિ પણ થાય છે. આવી દુર્ઘટનાઓને ટાળીને લોકો સુરક્ષિત રીતે તહેવાર ઉજવી શકે તે હેતુથી આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને જિલ્લાવાસીઓને ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ અને સાવચેતીપૂર્વક ઉજવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો. દ્વિચક્રી વાહનચાલકોએ પોતાના વાહનો પર આગળના ભાગે સેફ્ટીગાર્ડ લગાવવા અને વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર અથવા સ્કાર્ફ વીંટાળીને રાખવા જેથી દોરીથી બચી શકાય. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક PSI શક્તિસિંહ ઝાલા, RTO ઇન્સ્પેક્ટર મયુર પટેલ, RTO ઇન્સ્પેક્ટર એસ.પી. ચુડાસમા, મહાકાલ સેનાના જશપાલસિંહ અને મહાકાલ સેનાના સભ્યો, ટ્રાફિક સ્ટાફ તેમજ ARTO સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાહનચાલકોને સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સામાન્ય રીતે ક્રેન નો-પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વીડિયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરીઘટનાની વિગતો મુજબ, જ્યારે ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ વાહન ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત એક યુવકે કર્મચારીઓની કાર્યપદ્ધતિનો મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. કર્મચારીઓએ જાહેરમાં યુવક સાથે ગેરવર્તન કર્યું અને બળજબરીપૂર્વક તેને પકડીને પોલીસ ક્રેનમાં બેસાડી દીધો હતો. આ દૃશ્યો જોઈ આસપાસના લોકોએ વીડિયો ઉતારો, વીડિયો ઉતારોની બૂમો પાડી હતી. કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગવરાછા વિસ્તારમાં અવારનવાર કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે, પરંતુ આ પ્રકારની અજીબોગરીબ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતા ટ્રાફિક પોલીસે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
ગોધરા બામરોલી રોડ પર સંખ્યાબંધ અકસ્માતો:નવા બમ્પ પર માર્કિંગ ન હોવાથી વાહનચાલકો ભોગ બન્યા
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં તાજેતરમાં બનેલા નવા સ્પીડ બમ્પના કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ છે. વાહનચાલકોને પૂર્વ સૂચના ન મળતા અને બમ્પ પર યોગ્ય માર્કિંગના અભાવે અનેક દ્વિચક્રી અને ચારચક્રી વાહનો અસંતુલિત થઈ અકસ્માતનો ભોગ બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા બમ્પ પર નિયમ મુજબ સફેદ પટ્ટા (રિફ્લેક્ટિવ માર્કિંગ) ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઝડપી ગતિએ આવતા વાહનચાલકોને બમ્પ દેખાતો નથી. પરિણામે, વાહનો બમ્પ પર જોરથી ચઢી જતાં સ્લિપ થઈ જાય છે. આ અકસ્માતોમાં ઘાયલ થયેલા તમામ વાહનચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘાયલોની મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. વારંવાર થતા અકસ્માતોની માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું અને બમ્પ પાસે ઊભા રહી વાહનચાલકોને ધીમે વાહન ચલાવવાની અપીલ કરી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે બમ્પ પર યોગ્ય રીતે સફેદ પટ્ટા અને ચેતવણી સૂચક નિશાન મૂકવાની જરૂરિયાત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને બમ્પ પર તરત જ યોગ્ય માર્કિંગ કરવાની અને ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.
જૂનાગઢનો ગિરનાર પર્વત એટલે પ્રકૃતિ અને પરમેશ્વરનો અનોખો સમન્વય. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં માં અંબા, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શને ઉમટી પડે છે. પરંતુ આ આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારની પ્રકૃતિ હાલ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે. ગિરનાર પર્વત નજીકનો વિસ્તાર 'ઈકો સેન્સિટિવ ઝોન'માં આવતો હોવાથી હાઈકોર્ટ દ્વારા વર્ષો પહેલા અહીં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા દ્રશ્યો જોતા લાગે છે કે આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો થી તંત્રની ઊંઘ ઉડશે? જૂનાગઢ વન વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ગિરનાર જંગલની સરહદ નજીક એક માસૂમ હરણ પ્લાસ્ટિકના ઢગલામાં મોઢું મારીને ખોરાક શોધી રહ્યું હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો કેદ થયા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણ વિદો અને જીવદયા પ્રેમીઓમાં વન વિભાગ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે શું વન વિભાગ વાયરલ વીડિયોની જ રાહ જુએ છે ? અગાઉ પણ ત્રણથી ચાર વખત ગિરનારના જંગલી પશુઓ કચરાના ઢગલામાં પ્લાસ્ટિક ખાતા હોય તેવા વીડિયો જાહેર થઈ ચૂક્યા છે. સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે જ વન વિભાગને કેમ જાગવું પડે છે? સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ કોઈ વીડિયો ચર્ચામાં આવે ત્યારે વન વિભાગ પોતાની છબી સુધારવા અને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલવા માટે માત્ર એક કે બે દિવસ સાફ-સફાઈનું નાટક કરે છે, અને ત્યારબાદ સ્થિતિ ફરી ઠેરની ઠેર થઈ જાય છે. અસંખ્ય જગ્યાએ કચરાના ઢગલા હોવાની આશંકા વાયરલ વીડિયોમાં દેખાતું હરણ તો માત્ર એક ઉદાહરણ છે, પરંતુ ગિરનારના વિશાળ જંગલ વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ હશે જ્યાં પ્લાસ્ટિક અને કચરાના ઢગલા પડ્યા હશે. વન્યજીવો અજાણતામાં આ ઝેરી પ્લાસ્ટિક આરોગી રહ્યા છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વન વિભાગ પાસે આ કચરાના નિકાલ માટે કોઈ કાયમી એક્શન પ્લાન હોય તેવું જણાતું નથી. સુરક્ષાના સાઈન બોર્ડનો અભાવ: અકસ્માતનું જોખમ ગિરનારની આસપાસના વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓની સતત અવરજવર રહે છે. આમ છતાં, વન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને વન્યજીવોની સુરક્ષા માટે રસ્તાઓ પર જરૂરી 'સાઈન બોર્ડ' લગાવવાની તસ્દી પણ લેવામાં આવી નથી. સુરક્ષાના અભાવે ગમે ત્યારે લોકો કે પ્રાણીઓ અકસ્માતનો ભોગ બની શકે છે તેવો ભય સ્થાનિકોમાં ફેલાયો છે. જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, વન વિભાગ માત્ર 'કાગળ પરની કામગીરી' છોડીને ગ્રાઉન્ડ લેવલ પર કડક તપાસ કરે. પ્લાસ્ટિક ફેંકનારાઓ સામે કડક દંડ અને જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે જેથી ગિરનારની પવિત્રતા અને તેના વન્યજીવોની રક્ષા થઈ શકે.
રાજકોટમાં પ્રેસની ખોટી ઓળખ આપી એક શખ્સે લેડી ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરની કોઠારીયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકતા તે સંજય ધામેચા નામના શખ્સે પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો. જે બાદ ઝપાઝપી કરી મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઇજા પહોંચાડી હતી. જોકે આ અંગે આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન પરમારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીના બપોરે કોઠારીયા ચોકડી બ્રીજ ઉપર ફરજ પર હતા ત્યારે 12.25 વાગ્યે કોઠારીયા ચોકડી ઉપર વાહન ચેકીંગની કરતા હતા. આ દરમિયાન આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ વગરનુ એક વાહન આવતા તેને રોકી તેના નંબર જોતા GJ10ED 7613 લખ્યુ હતુ. જેથી વાહન ચાલકને દંડ ભરવાનુ કહ્યુ હતુ. જે સમયે તેમણે જણાવ્યુ હતુ કે, હુ પ્રેસમાથી છુ અને મારુ નામ સંજયભાઈ ધામેચા છે તમે કાયમ અહી બધા વાહન ચાલકોને હેરાન કરો છો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જે બાદ ઝપાઝપી કરતા મને કાંડાના ભાગે મુંઢ ઈજા થઈ હતી અને આ દરમ્યાન તેનો મોબાઇલ ફોન નીચે પડી ગયો હતો. જેથી તે ભાઈ અમારી પર આક્ષેપ કરવા લાગ્યા હતા કે તમે મારો મોબાઇલ તોડી નાખ્યો છે. જેથી તેનો ખર્ચ આપી દો. ઇન્ચાર્જ PSI ડી.પી.ગોહીલે તે ભાઈને પૂછ્યું હતુ કે તમો કયા પ્રેસમા છો તમારી પાસે આઇકાર્ડ છે? તો તે ભાઈએ આઇકાર્ડ ન હોવાનુ જણાવ્યુ હતુ અને કોઇ પ્રેસનુ નામ આપ્યુ ન હતુ. જેથી પોલીસે ફરજમાં રૂકાવટ ન ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમ લગ્ન કરતા યુવક પર યુવતીના પરિવારનો હૂમલો લક્ષ્મીનગર મેઈન રોડ પર ફિલ્ડ માર્શલ વાડીની બાજુમાં મોડર્ન સ્ટેશનરી સામે રહેતાં યુવાન પર મોડી રાત્રે પ્રેમલગ્નની અદાવતમાં હીચકારો હુમલો થતાં માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. છૂટાછેડા લીધા બાદ યુવતિ ફરી આ યુવાન પાસે રહેવા આવતા ઉશ્કેરાયેલા તેણીના પિતા, ભાઈ અને કાકા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે પણ મારામારીમાં એકને ઈજા થઈ હતી.બનાવ અંગે લક્ષ્મીનગરમાં રહેતો હર્ષિત ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાથીખાનામાં રહેતા હરેશ હેરભા, યુવરાજ હેરભા, સમીર હેરભા અને ધ્રુવપાલ હેરભાનું નામ આપતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાહન હડફેટે ઇજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત મૂળ યુપીના અને હાલ રાજકોટ ભારતનગરમાં રહેતા મુનીબ સુરતભાઇ રાજભરે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગત 28 ડિસેમ્બરના સાંજે 7:00 વાગ્યે 33 વર્ષીય ભાણેજ ગોવિંદ નિફાઇત રાજભર ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ આવતા હાઇવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક્ટીવા મોટર સાયકલ નં.GJ 13 BF 4053 ના ચાલકે હડફેટે લીધો હતો. જેથી તેને માથા અને શરીરે ઇજા થઈ હતી. જે બાદ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે તા.2 જાન્યુઆરીના બપોરે 3.45 વાગ્યે યુવાનનુ મૃત્યુ નિપજ્યુ હતુ. સરધારમાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારને પકડવા રેલી સાથે રાજકોટ CP ને આવેદન સરધારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આરોપી નહીં પકડાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની સમસ્ત અનુસૂચિત જાતિ સરધાર દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ છે. સીસીટીવી ફુટેજ ચેક કરી કે લોકેશન ટ્રેસ કરી આરોપીઓને પકડવામાં ન આવતાં હોવાનો પોલીસ પર આક્ષેપ કરાયો છે. સમસ્ત અનુસૂચિત જાતિ સરધાર દ્વારા પોલીસ કમિશ્નર સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગત તા.22 ના સરધારમા આવેલ ડો.બી.આર.આંબેડકર બુધ્ધ વિહારમાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં તોડી પાડી ગુમ કરેલ તે બાબતે ફરીયાદ થયેલ તેના આરોપીઓ આજ સુધી પકડથી દુર છે. ટ્રકે બાઈક પર જતા 2 મિત્રોને હડફેટે લીધા, એકનું મોત ડોલામણી સહદેવ ધીવેલા (ઉ.વ.25)એ જણાવ્યું કે, હું સેન્ટીંગ મજુરીકામ કરું છું. 4 માસ પહેલા હું તથા સબીર ઉર્ફે કાલુ માંઝી (ઉં.વ. 21) રાજકોટ ખાતે રત્નાવિલેજ પેલેસ કાલાવડ રોડ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરવા આવ્યા હતા અને બંને ત્યાં જ રહેતા હતા. ગુરુવારે બપોરના 2 વાગ્યાના અરસામાં હું તથા સબીર ઉર્ફે કાળુ માંજી એમ બંને મારા મિત્ર પ્રદીપ ભગતી (રહે. ઓરિસ્સા) નું જીજે 03 બીએફ 6029 વાળું બાઈક લઈને વૈજાગામ જવા માટે નીકળ્યા હતા અને આ બાઈક સબીર ઉર્ફે કાલુ ચલાવતો હતો અને હું પાછળ બેઠો હતો. બપોરના 2.30 વાગ્યે નવા 150 ફૂટ રીંગ રોડ પર વેજા ગામ તરફ જતા હતા ત્યારે સામેથી (જી.જે.03 જે.એ. 3484) નંબરના ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા સબીર ઉર્ફે કાલુને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. સ્કૂલવાન ચાલકને જોઈને ચલાવવાનું કહી બાઇક ચાલકે માર માર્યો હરેશભાઈ બાબુભાઈ જોશી (ઉં.વ. 32, રહે.નંદનવન સોસાયટી, આરએમસી ક્વાર્ટર, રૈયા રોડ, રાજકોટ) આજે 2 જાન્યુઆરીના સવારે 8 વાગ્યા આસપાસ બાળકોને લઈ પોતાની સ્કૂલ વાનમાં જતા હતા ત્યારે આત્મીય કોલેજ પાછળ જગન્નાથ ચોકમાં સ્કૂલ વાન યુ ટર્ન લેતા બાઈક સાથે અકસ્માત થતા થતા રહી ગયો હતો. જેથી આ બાઈક ચાલકે જોઈને ચાલવાનુ કહી બેફામ ગાળો આપી હતી. જોકે સાથે સ્કૂલના બાળકો હોવાથી અપશબ્દો ન બોલવાનું કહેતા આ બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ઢીંકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હરેશભાઇને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સજાના વોરંટમાં ફરાર આરોપી ઝડપાયો સજાના વોરંટમાં લાંબા સમયથી ફરાર તોપખાનાના સતિષ ચૌહાણને પ્રદ્યુમનનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા સજાના વોરંટના કામના પકડવાના આરોપીઓને તુરંત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ અને ટીમે તપાસ હાથ ધરતાં સજાના વોરંટના નાસતા-ફરતા સતિષ રાજુ ચૌહાણ (30, રહે. જામનગર રોડ, તોપખાના શેરી નં.2, મોરબી હાઉસ પાસે)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠક્કરબાપાનગર બ્રિજની નીચે દબાણો દૂર કરવા ગયેલી ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જ્યારે રોડ ઉપર ફ્રુટ અને પાણીપુરીવાળા સહિતની લારીઓ ઉપાડી લેવામાં આવી, ત્યારે જે લારી દબાણ શાખાની ગાડીમાં ચડાવી હતી તેને ઉતારી લેવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની પણ લારી લેવા જતા તેણે ઘર્ષણ કર્યું હતું. જોકે, લોકોના ટોળા ભેગા થઈ ગયા અને હાથમાં પથ્થર લઈ પથ્થરમારો કરવાની તૈયારી કરી હતી. પરંતુ એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા વીડિયો ઉતારવાની શરૂઆત કરતા પથ્થર મૂકી દીધા હતા. એસ્ટેટ વિભાગની ટીમને સ્થિતિ વધુ વણસે તે પહેલા ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. જોકે, આ દરમિયાન એક શખસે એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થર ફેંક્યો હતો. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતીઅમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપરના દબાણો ટ્રાફિકની સમસ્યાને લઈને દૂર કરવા પ્રિન્સિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ ટાઈમ કામગીરી કરી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ઠક્કરબાપાનગર બ્રિજની નીચે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણ દૂર કરવા માટે ગઈ હતી. બ્રિજની નીચેના ભાગે લારીઓ વાળા ઉભા હતા, જેથી કેટલાક લોકો ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારે કેટલીક લારીઓને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાનમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે તેઓ દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ વીડિયો ઉતારવા ફોન હાથમાં લેતા પથ્થરો ફેંકી દીધાપાણીપુરી અને ફ્રુટ સહિતની લારીઓ ઉપાડી અને દબાણ શાખાની ગાડીમાં ભરવામાં આવી હતી. ત્યારે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમાંથી લારી નીચે ઉતારી દેવામાં આવી હતી. ત્યારબાદ એસ્ટેટ વિભાગની ટીમ બીજી લારી ઉપાડીને લઈ જતી હતી ત્યારે ઘર્ષણ કર્યું હતું. સ્થાનિક લારીઓ વાળાના ટોળા ભેગા થઈ ગયા હતા અને બુમાબુમ કરી હતી. કેટલાક લોકોએ હાથમાં પથ્થર લીધો હતો. જો કે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારવાની શરૂઆત કરતા પથ્થરો મૂકી દીધા હતા. ત્યારબાદ એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ ઉપર સ્થિતિ વધારે વણસે તેવી બાબત જોઈને ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક ગુનાખોરી અને માનસિક તણાવના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક નિવૃત્ત વૃદ્ધે કોર્ટના સમન્સના ડરે આપઘાત કર્યો છે, જ્યારે અન્ય બે કિસ્સાઓમાં ગઠીયાઓએ રોકાણ અને ઓનલાઈન ટાસ્કના નામે નાગરિકોના લાખો રૂપિયા પડાવી લીધા છે. 76 વર્ષીય વૃદ્ધનો આપઘાતપાલનપુર ગામ વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં એક કરુણ ઘટના બની છે. મૂળ મહારાષ્ટ્રના રાયગઢના વતની અને નિવૃત્ત જીવન જીવતા 76 વર્ષીય ભાસ્કર ભિવાજી વાડકરે શુક્રવારે સવારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીપરિવારજનોના જણાવ્યા અનુસાર, ભાસ્કરભાઈના વતન મહારાષ્ટ્રમાં કોઈ પારિવારિક મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. આ કેસના અનુસંધાને તેમને કોર્ટમાં હાજર થવા માટેનું સમન્સ મળ્યું હતું. આ સમન્સ આવ્યા બાદ તેઓ ભારે માનસિક તણાવમાં રહેતા હતા. આ તણાવ સહન ન કરી શકતા તેમણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે 20 લાખની છેતરપિંડીઅમરોલી વિસ્તારમાં રહેતા અને હીરા વેપારીની પત્ની પૂર્વીબેન દિયોરા સાથે ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂ. 20 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઠગાઈ તેમના જ ઓળખીતા ગૌતમ હરસુખ કમાણી દ્વારા કરવામાં આવી હતી.ગૌતમે દંપતીને લાલચ આપી હતી કે જો તેઓ ફોરેક્સમાં રોકાણ કરશે તો તેમને 7 થી 11 ટકા જેટલો માતબર નફો મળશે. તેણે વિશ્વાસ જીતવા માટે એવું પણ કહ્યું હતું કે, જો અમેરિકન ડોલર ઝીરો થશે, તો જ તમારા પૈસા ઝીરો થશે. અંતે એકાઉન્ટમાં બેલેન્સ 'શૂન્ય' થઈ ગયુંવિશ્વાસમાં આવીને પૂર્વીબેને કુલ 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. શરૂઆતમાં મોબાઈલ એપ્લિકેશનમાં નફો બતાવવામાં આવ્યો હતો, પરંતુ ધીરે-ધીરે આ રકમ ઘટતી ગઈ અને અંતે એકાઉન્ટમાં બેલેન્સ 'શૂન્ય' થઈ ગયું. જ્યારે પૂર્વીબેને પૈસા પાછા માંગ્યા, ત્યારે ગૌતમે ધમકી આપી હતી. હાલ અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. 11.35 લાખની ઓનલાઈન ઠગાઈસાયબર અપરાધીઓએ હવે 'વર્ક ફ્રોમ હોમ' અને 'સોશિયલ મીડિયા ટાસ્ક'ને હથિયાર બનાવ્યું છે. પીપલોદના સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ધ્રુવતજ સુરેશભાઈ પટેલ સાથે આવી જ એક છેતરપિંડી થઈ છે. ધ્રુવતજે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે ગૂગલ રિવ્યુ કરીને પૈસા કમાવો એવી જાહેરાત જોઈ હતી. ઠગબાજોએ તેમને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ કરી શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે રૂ. 150 અને ત્યારબાદ રૂ. 5600 જેવું વળતર ચૂકવ્યું હતું. ત્યારબાદ, ટાસ્ક પૂરો થયો નથી અથવા પેનલ્ટી લાગી છે તેમ કહીને અલગ-અલગ ચાર્જિસના નામે ધ્રુવતજ પાસેથી ટુકડે-ટુકડે રૂ. 11,41,615 પડાવી લીધા હતા. છેવટે છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી કેમિસ્ટ એસો.ના નવા ચેરમેન તરીકે મેઘરાજસિંહ ઝાલા:પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નામની જાહેરાત કરી
મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નવા ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે. તેમની વરણી પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની નિવૃત્તિ સેરેમની બાદ કરવામાં આવી હતી. મેઘરાજસિંહ ઝાલા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રુપથી જાણીતા છે. આ પ્રસંગે મોરબીમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એસોસિએશનના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરી, સેક્રેટરી જયેશભાઈ ટોલીયા, ટ્રેઝરર ભાવેશભાઈ મહેતા સહિત કારોબારી સભ્યો નરેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ મહેતા, અશ્વિનભાઈ કડીવાર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ મહેશ્વરી અને નરેન્દ્રભાઈ રંગપરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની નિવૃત્તિ સેરેમની શરણાઈ અને બેન્ડવાજા સાથે ઉજવવામાં આવી હતી. ત્યારબાદ, સંસ્થાના હોદ્દેદારોની સહમતિથી, પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નવા ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાતને તમામ સભ્યોએ આવકારી હતી. પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થામાં આઠ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપી છે, જેના સહકારથી સંસ્થામાં સંગઠનનો પાયો મજબૂત થયો છે. નવનિયુક્ત ચેરમેન મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થાના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, સંસ્થાના સ્લોગન “પરસ્પર પ્રેમથી પાંગરતો ભાઈચારો”ના ઉદ્દેશ્ય સાથે સંગઠનની એકતા વધે તેવા કાર્યો અવિરત ચાલુ રાખશે. તેમણે સંસ્થા માટે 24 કલાક તન, મન અને ધનથી કાર્ય કરવાની ખાતરી પણ આપી હતી.
અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS ની વિશેષ અદાલતે 80 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીને 10 વર્ષની સખત કેદ અને કુલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. NDPS કોર્ટના જજ વી.બી રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો 21 સાહેદ અને 45 પુરાવા તપાસીને આરોપીને ઉપરોક્ત સજા ફટકારી છે. કેસની વિગતો જોતા DCBને બાતમી મળી હતી તે મુજબ તેઓ SP રીંગ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જેમાં હાથીજણ પાસે એક સ્વિફ્ટ ગાડી આવતા તેની અંદરથી આરોપી શૈલેષ પ્રજાપતિ જે વટવાનો રહેવાસી છે, તે ઝડપાયો હતો. તેની પાસેથી 80 કિલો જેટલો ગાંજો મળ્યો હતો. આ ગાંજો તે સુરતના ઉધનાથી લાવ્યો હતો. જેની બજાર કિંમત 4 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી. આરોપીના કહ્યા મુજબ તે આ ગાંજો અન્ય કોઈ વ્યક્તિને આપતો હતો. DCBએ આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને આવનારી પેઢી માટે બે અત્યંત મહત્વના અને નિર્ણયો લેવામાં આવ્યા છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં એક તરફ મિલકતદારોને વર્ષો જૂના વેરાના બોજમાંથી મુક્તિ આપવા માટે 'વ્યાજ માફી યોજના' જાહેર કરવામાં આવી છે, તો બીજી તરફ મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિશ્વસ્તરીય ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે એઆઈ લેબ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સુઓમોટો ઠરાવ રજૂ કરીને મિલકતદારોને મોટી રાહત આપીસુરત મહાનગરપાલિકામાં ભાજપ શાસકોએ બાકી મિલકત વેરામાં વ્યાજ અને પેનલ્ટી માફીની પ્રોત્સાહક સ્કીમ ફરી એકવાર અમલમાં મૂકી છે. આ વખતે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે સુઓમોટો ઠરાવ રજૂ કરીને મિલકતદારોને મોટી રાહત આપી છે. સામાન્ય રીતે દર વર્ષે આ યોજના ફેબ્રુઆરીમાં શરૂ થતી હોય છે, જેના કારણે નાગરિકોને માત્ર 40 દિવસ જેટલો સમય મળતો હતો. પરંતુ આ વર્ષે જાન્યુઆરીથી શરૂ કરીને 31 માર્ચ 2026 સુધી એટલે કે પૂરા 80 દિવસ સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે. બિન-રહેણાંક મિલકતો માટે વ્યાજ અને પેનલ્ટીમાં 50% રાહતશહેરમાં કુલ 3,99,310 મિલકતો એવી છે જેનો જૂનો વેરો બાકી છે. આ મિલકતો પર ચઢેલું વ્યાજ અને પેનલ્ટીની રકમ અંદાજે 266.99 કરોડ જેટલી થાય છે. મનપાના આ નિર્ણયથી લાખો પરિવારોને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. 3,10,358 રહેણાંક મિલકતોના માલિકો જો 31 માર્ચ સુધીમાં મૂળ વેરો ભરી દેશે તો તેમને વ્યાજ, વોરંટ ફી અને પેનલ્ટીમાં 100% માફી મળશે. 89,552 બિન-રહેણાંક મિલકતો માટે વ્યાજ અને પેનલ્ટીમાં 50% રાહત જાહેર કરવામાં આવી છે. જોકે, અગાઉના વર્ષોના અનુભવ મુજબ આવી યોજનાઓને મિશ્ર પ્રતિસાદ મળતો રહ્યો છે, પરંતુ આ વખતે સમયગાળો બમણો હોવાથી મનપાને મોટી આવક થવાની આશા છે. સુમન શાળાઓ હવે બનશે 'ટેક-હબ' બનશેએક બાજુ ટેક્સની રાહત છે, તો બીજી બાજુ સુરત મનપા શિક્ષણના સ્તરને ખાનગી શાળાઓ કરતા પણ બહેતર બનાવવા કટિબદ્ધ દેખાઈ રહી છે. સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 'સુમન સ્કૂલો' હવે હાઈ-ટેક બનવા જઈ રહી છે. પાલિકા દ્વારા વધુ 6 નવી સુમન શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને AR-VR ઓગમેન્ટેડ રિયાલિટી-વર્ચ્યુઅલ રિયાલિટી લેબ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં સુરતની 18 સુમન શાળાઓ પૈકી 12 શાળાઓમાં પહેલેથી જ રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ 11,000 થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. હવે નવી 6 લેબ ઉમેરાતા વધુ 5,000 વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનશે. શું શીખશે વિદ્યાર્થીઓ?આ લેબમાં બાળકોને માત્ર થિયરી જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ એટલે કે 'હેન્ડસ ઓન એક્ટિવિટી' કરાવવામાં આવશે. જેમાં ડ્રોન કેવી રીતે ઉડે છે અને રોબોટ્સ કેવી રીતે કામ કરે છે. તેનું પ્રત્યક્ષ જ્ઞાન, નવીનતમ ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગની સમજ, રોગ્રામિંગ દ્વારા વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગનો વિકાસ, આભાસી દુનિયા દ્વારા જટિલ વિષયોને સરળતાથી સમજવાની ટેકનિક મળશે. બાળકોમાં ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ્સ કેળવાશેઆ પ્રોજેક્ટ માત્ર મશીનો પૂરતો સીમિત નથી. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે મનપા દ્વારા 65 જેટલા શિક્ષકોને AI, રોબોટિક્સ અને 3D પ્રિન્ટિંગની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આનાથી બાળકોમાં ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ્સ કેળવાશે, જે ભવિષ્યમાં તેમને એરોસ્પેસ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના PSIનું સીટ બેલ્ટ વડે ગળું દબાવીને ભાગવાનો પ્રયાસ કરનાર અશોક બિશ્નોઇ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગુજસીટોકના ગુનામાં આજે અશોક બિશ્નોઇને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 29 ડિસેમ્બરના રોજ આસામના ગુહાટીથી આરોપી અશોક બિશ્નોઇની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અશોક બિશ્નોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતા છે. આરોપીની ધરપકડ માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે, આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો. તે નકલી આઇડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટલોમાં રોકાતો હતો. આરોપીને ઝડપી લેવા માટે SMC દ્વારા યુપી અને લખનઉમાં બે ટીમો પણ દોડાવવામાં આવી હતી. આરોપીને ગુહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી. પોલીસ વાહન પસાર થતું હતું, ત્યારે અશોક બિશ્નોઇએ અચાનક PSI કે.ડી. રાબિયા પર હુમલો કરી, ચાલતી ગાડીએ તેમને ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. સાથી પોલીસ કર્મચારીના જીવને જોખમમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાતા, તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજસીટોકના ગુનાના આજે અશોક બિશ્નોઇને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તેના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ખાસ સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપીને પગમાં ગોળી વાગેલી છે, જેથી તેને તપાસ માટે બહાર લઈ જઈ શકાય તેમ નથી. પરંતુ રઘુવીર પંડ્યાએ કરેલી દલીલો ધ્યાને રાખીને કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અશોક બિશ્નોઇએ ગોવાના વિપિન અરોરા સાથે મળીને ગુજરાતમાં દારૂની 40 હજાર બોટલો ઘુસાડી હતી. આ કેસમાં આરોપી અશોક બિશ્નોઈ ફરાર થઈ ગયા બાદ રાજસ્થાન અને આસામ ભાગી ગયો હતો. જેથી પોલીસ આરોપી અશોક બિશ્નોઇએ આસામ અને રાજસ્થાન જઈને આ કેસમાં તપાસ કરશે. મહત્વનું છે કે, રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના બુટલેગરોને લાખો-કરોડોનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરાતી હોવાથી આવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ટોળકીના કુલ 13 આરોપી સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ડ્રાઈવરની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. બસના એન્જિનના ભાગમાં આગ લાગીમળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. મુસાફરોમાં મચી અફરા-તફરીઘટના સમયે બસમાં અંદાજે 15 થી 20 મુસાફરો સવાર હતા. બસમાં આગ લાગતા જ મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા જ તમામ મુસાફરો સમયસર બસમાંથી નીચે ઉતરી ગયા હતા, જેને કારણે એક મોટી જાનહાનિ ટળી છે. જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો છે. ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીપ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
2007માં રખડતા આખલા સાથે અથડાયા બાદ મૃત્યુ પામેલા મોટરસાયકલ સવારના પરિવારને વાર્ષિક 4.84 લાખ વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ હાઇકોર્ટે માન્ય રાખ્યો હતો અને આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વળતરની ચૂકવણી સામે કરેલી અપીલ ફગાવી કાઢી હતી. હાઇકોર્ટે એવું અવલોકન પણ કર્યું હતું કે, જાહેર રસ્તાઓ અને શેરીઓ રખડતા ઢોરથી મુક્ત રાખવામાં કોર્પોરેશનની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. એટલું જ નહીં હાઇકોર્ટની ડિવીઝન બેંચના નિર્ણયનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો હતો. રખડતા આખલાએ અડફેટે લેતા બાઇકસવાર યુવકનો અકસ્માત થયોહાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ઉપરોક્ત નિર્ણય તેમજ અકસ્માતની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા સ્પષ્ટપણે સામે આવે છે કે રખડતો આખલા મૃતકને ટક્કર મારી ગયો હતો. આ સમયે મૃતક તેની બાઇક પર સવાર હતો. રેકોર્ડ પરના તથ્યો દર્શાવે છે કે અકસ્માત અપીલકર્તા કોર્પોરેશન અને તેના કર્મચારીઓના મેનેજમેન્ટ અને નિયંત્રણ હેઠળ થયો હતો. જો જે લોકોના હસ્તક આ મેનેજમેન્ટ અને સંચાલન હોય છે તેમણે યોગ્ય અને વાજબી કાળજી લીધી હોત તો આવો અકસ્માત સામાન્ય રીતે ન બને. અકસ્માતના કારણ અંગે અપીલકર્તા કોર્પોરેશન તરફથી કોઈ વાજબી સમજૂતી સામે આવી નથી. જે અન્યથા પ્રતિવાદીના નિયંત્રણમાં હતું. જો યોગ્ય કાળજી લેવામાં આવી હોત તો આવી કમનસીબ ઘટના ટાળી શકાઈ હોત. કાનૂની ફરજ અને પ્રાથમિક જવાબદા કોર્પોરેશનની છેવધુમાં કોર્ટે નોંધ્યું હતું કે, કાનૂની ફરજ અને પ્રાથમિક જવાબદા કોર્પોરેશનની છે. જે જાહેર રસ્તાઓની જાળવણી કરે છે અને રખડતા ઢોરના ભયને દૂર કરે છે. જેથી રાહદારીઓ અને સવારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિવારક પગલાં લઈ શકાય અને આવા જોખમોને કારણે જનતાના જીવન અને વ્યક્તિગત સલામતીનો આનંદ માણવાનો મૂળભૂત અધિકાર યોગ્ય રીતે સુરક્ષિત રહે અને જોખમમાં ન મૂકાય તેની ખાતરી કરી શકાય. 53 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતુંઆ કેસમાં દાવો મૃતકના કાનૂની વારસદારો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જેમનો 27મી સપ્ટેમ્બર 2007 ના રોજ મોટરસાયકલ ચલાવતા અકસ્માત થયો હતો. ત્યારે એક રખડતો આખલા અચાનક રસ્તા પર ધસી આવ્યો અને તેને તેના શિંગડા વડે માર્યો હતો. જેના કારણે તે પડી ગયો અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તે 53 દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા હતો અને આખરે 29મી નવેમ્બર 2007ના રોજ હેમરેજના કારણે તેમનું અવસાન થયું હતું. 15 લાખના નુકસાનની માંગણી કરતો દાવો દાખલ કર્યો હતોતેમના મૃત્યુ પછી FIR નોંધવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતકના વારસદારોએ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય પાસેથી તબીબી ખર્ચ, જીવન અને સહાય ગુમાવવા, આવક ગુમાવવા, માનસિક પીડા, આઘાત અને પ્રેમ અને સ્નેહ ગુમાવવા બદલ 15 લાખના નુકસાનની માંગણી કરતો દાવો દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે માર્ચ 2018 ના તેના આદેશમાં કોર્પોરેશનને બેદરકારીના દોષી ઠરાવી વાર્ષિક 9% વ્યાજ સાથે 4.83 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આની સામે કોર્પોરેશને હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જે અપીલ હાઇકોર્ટે રદ કરી વળતર ચૂકવવાનો આદેશ બહાલ રાખ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર ગત વર્ષ 2025ના ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી પ્રતાપપુરા સરોવર તેની પૂર્ણ ક્ષમતા (Full Reservoir Level - FRL) 228.65 ફૂટ સુધી ભરાઈ ગયું હતું અને આ મહત્તમ સ્તર હાલ સુધી જાળવી રાખવામાં આવ્યું છે. અગાઉ આ સરોવરનું વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હતું પરંતુ, હવે આજથી પ્રતાપપુરા સરોવરનું પાણી આસોજ ખાતેના ફીડર કેનાલના દરવાજા મારફતે આજવા સરોવરમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરોવરમાં સંગ્રહિત પાણીને આજવા સરોવરમાં ટ્રાન્સફર કરીને તેનો લાભ લઈ શકાશેમહાનગરપાલિકાના દ્વારા જણાવવામાં આવ્યું કે, તબક્કાવાર ધોરણે પ્રતાપપુરા સરોવરમાંથી કુલ 180 MCFT (અંદાજે 5096 મિલિયન લિટર) પાણી આજવા સરોવરમાં લેવામાં આવશે. આનાથી વડોદરા શહેરના નાગરિકોને આજવા સરોવર દ્વારા લગભગ 30 દિવસનો વધારાનો પીવાના પાણીનો પુરવઠો મળી શકશે. અગાઉ ચોમાસા પછી આવા વધારાના પાણીનો સંગ્રહ કરી શકાતો નહોતો પરંતુ, હવે પ્રતાપપુરા સરોવરમાં સંગ્રહિત પાણીને આજવા સરોવરમાં ટ્રાન્સફર કરીને તેનો લાભ લઈ શકાશે. આ કામગીરીમાં મહત્વની ભૂમિકા પ્રતાપપુરા સરોવરની વધારેલી સંગ્રહ ક્ષમતાની છે. ગત વર્ષે સરોવરની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ડ્રેનેજિંગની કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે વધારાના પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. સરોવરની મૂળ સંગ્રહ ક્ષમતા 150 MCFT (4246 મિલિયન લિટર) હતી, પરંતુ સરોવર વિસ્તારમાંથી 11,64,000 ઘન મીટરનું ડ્રેનેજિંગ કરવામાં આવતા હવે ક્ષમતા વધીને 5410 મિલિયન લિટર થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કામગીરીમાં મધ્ય ઝોન હંમેશા વિવાદમાં રહેતો હોય છે. કોટ વિસ્તારમાં અનેક પાથરણા વાળાઓ અને લારીઓ વાળાના દબાણો હોવા છતાં પણ ત્યાં દબાણો દૂર કરી ન શકનારા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા આજે 2 જાન્યુઆરીના રોજ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી સિઝનેબલ માર્કેટની દુકાનોના દબાણમાં આવનારા ભાગને દૂર કરવા પહોંચી હતી. દુકાનોની આગળ આવેલી ફૂટપાથ અને પતરાઓ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને પતરા તેમજ ફૂટપાથ દૂર કરી હતી. દિલ્હી દરવાજા વિસ્તારમાં દુકાનોની સામે આવેલા રોડ પરના ગાભા બજાર દૂર કરવા માટે આ પ્રમાણે ક્યારેય બંદોબસ્ત સાથે મધ્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી નથી. તેને લઈને સ્થાનિક દુકાનદારોએ સવાલ ઉભા કર્યા હતા. ફૂટપાથ પરનું દબાણ એસ્ટેટ વિભાગની ટીમે દૂર કર્યુંમધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની ટીમ આજે સવારે દિલ્હી દરવાજા વિસ્તારમાં સીઝનેબલ ફટાકડા, પતંગ- દોરી અને હોળી-ધુળેટીના તહેવારો સહિત સીઝનેબલ વસ્તુઓનું વેચાણ કરનારી 40થી 50 દુકાનોની આગળના ભાગે આવેલી ફૂટપાથોનું દબાણ તોડવા માટે પહોંચી હતી. દુકાનદારો દ્વારા આગળ ફૂટપાથ ઉપર અને ઉપરના ભાગે પતરા લગાવી દેવામાં આવ્યા હતા. પતરા અને ફૂટપાથ પરનું દબાણ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ રોડ 18 મીટરથી વધારે પહોળો છે અને ખાસ કરીને આ રોડ ઉપર સરળતાથી વાહન પસાર થાય છે. વધુ ટ્રાફિકની સમસ્યા રહેતી નથી. 'ગાભા બજારમાં કપડાનું વેચાણ લોકો રોડ ઉપર કરે છે'જોકે દિલ્લી દરવાજામાં આ સીઝનેબલ દુકાનોની સામેના ભાગે આવેલા માતાજીના મંદિરની આસપાસ મોટું ગાભા બજાર ભરાય છે. જ્યાં ખૂબ મોટું દબાણ હોય છે અને રોડ ઉપર લોકો કપડા વેચવા માટે બેસતા હોય છે ત્યાંનું દબાણ ક્યારે દૂર કરવામાં આવ્યું નથી. શાહપુર દરવાજાથી દિલ્હી દરવાજા તરફ જવાના રોડ ઉપર આ ગાભા બજારમાં કપડાનું વેચાણ લોકો રોડ ઉપર કરે છે. મોટી AMTS બસો પણ અહીંયાથી જ પસાર થાય છે. જો ક્યારેક કોઈ વાહનચાલક દ્વારા ગંભીર અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરતી નથી અથવા તેને કાયમી દૂર કરવામાં રસ ધરાવતી નથી. ઝોન વિભાગથી લઈ ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે સવાલોશહેરના મધ્ય ઝોનમાં આવતા કોટ વિસ્તારમાં માણેકચોક, ત્રણ દરવાજા પાનકોરનાકા, રીલીફ રોડ અને ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં રોડ ઉપર અનેક લારી ગલ્લાના દબાણ થાય છે. રોડ ઉપર ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતી હોય છે. વહેલી સવારે પાનકોર નાકા અને ત્રણ દરવાજા સુધી નારીયેળની લારીઓનું દબાણ અને દિવસ દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુઓનું વેચાણ કરનારી લારીઓ સહિતનું દબાણ હોય છે, પરંતુ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીને અને ટ્રાફિક પોલીસને આ જગ્યા પરથી ટ્રાફિક દૂર કરવામાં રસ નથી. જ્યાં ખુલ્લો રોડ મળે છે ત્યાં દુકાનોની આગળ નાના લગાવેલા પતરા પણ તેમને દબાણ દેખાય છે અને દૂર કરે છે. આ દબાણો દૂર ન કરવામાં આવતા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગથી લઈને ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મિલકત વિગતો અંગે અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ હવે રાજ્યના તમામ કર્મચારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર અને જંગમ મિલકતનું પત્રક ફરજિયાત રીતે ‘કર્મયોગી’ પોર્ટલ પર ભરવું પડશે. આ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ ફરજિયાત શરત ગણાશે અને સમયમર્યાદામાં પાલન નહીં થાય તો પગાર અટકાવવાની કાર્યવાહી પણ થઈ શકે છે. પરિપત્રમાં સરકારની સ્પષ્ટ શબ્દોમાં કડક અમલની ચેતવણીગુજરાત રાજ્ય સેવાઓ (વર્તણૂક) નિયમો, 1971ના નિયમ-18 હેઠળ સરકારી કર્મચારીઓએ પોતાની તેમજ જીવનસાથી અને આશ્રિત પરિવારજનોની મિલકત અંગે સરકારને જાણ કરવી ફરજિયાત છે. વર્ષોથી આ નિયમ અસ્તિત્વમાં હોવા છતાં, તેનો અમલ સમાન રીતે થતો ન હતો. અનેક કર્મચારીઓ સમયસર મિલકત પત્રક ન ભરતા હોવાની બાબત સરકારના ધ્યાન પર આવી હતી, જેના પગલે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તાજેતરના પરિપત્રમાં સરકારે સ્પષ્ટ શબ્દોમાં કડક અમલની ચેતવણી આપી છે. વાર્ષિક મિલકત પત્રક ‘કર્મયોગી’ પોર્ટલ પર સબમિટ કરવું ફરજિયાતપરિપત્ર અનુસાર કેલેન્ડર વર્ષ 2025 માટેનું વાર્ષિક મિલકત પત્રક 1 જાન્યુઆરી 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ‘કર્મયોગી’ પોર્ટલ પર ઓનલાઈન સબમિટ કરવું ફરજિયાત રહેશે. સરકારએ આ બાબતે કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં આપવા અંગે સ્પષ્ટતા કરી છે. નિર્ધારિત સમયગાળા બાદ જો મિલકત પત્રક રજૂ નહીં થાય તો તે નિયમભંગ તરીકે ગણાશે અને સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરાશે. મિલકત પત્રક ન ભરનાર કર્મચારીઓનો પગાર અટકાવી શકાયઆ પરિપત્રની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ પગાર સાથે જોડાયેલી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયસર મિલકત પત્રક ન ભરનાર કર્મચારીઓનો પગાર અટકાવી શકાય છે. અગાઉ જ્યાં આ મુદ્દે માત્ર નોંધ કે સૂચન પૂરતું માનવામાં આવતું હતું, ત્યાં હવે સીધી આર્થિક કાર્યવાહી જોડાતા કર્મચારીઓ પર દબાણ વધ્યું છે અને નિયમોના પાલન માટે સ્પષ્ટ સંદેશ ગયો છે. ડિજિટલ પોર્ટલથી આ ડેટા એક જગ્યાએ ઉપલબ્ધ રહેશેસરકાર દ્વારા મિલકત પત્રક ભરવાની સમગ્ર પ્રક્રિયા ‘કર્મયોગી’ પોર્ટલ પર ડિજિટલ રીતે અમલમાં મૂકવામાં આવી છે. કર્મચારીઓને પોતાની, જીવનસાથીની અને આશ્રિતોની સ્થાવર તથા જંગમ મિલકતની વિગતો Annexure મુજબ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ડિજિટલ પોર્ટલથી ભવિષ્યમાં આ ડેટા એક જગ્યાએ ઉપલબ્ધ રહેશે અને પ્રશાસનિક નિયંત્રણ વધુ મજબૂત બનશે એવો સરકારનો દાવો છે. પારદર્શિતા અને શિસ્ત લાવવા સરકારી તંત્ર માટે કડક સંદેશપરિપત્ર પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર હવે મિલકત પત્રકને માત્ર નિયમરૂપ નહીં પરંતુ જવાબદારી સાથે જોડાયેલી ફરજ તરીકે જોઈ રહી છે. પારદર્શિતા અને શિસ્ત લાવવા માટે લેવાયેલો આ નિર્ણય સરકારી તંત્ર માટે કડક સંદેશ છે. જોકે, આ ડેટાનો ઉપયોગ કેટલી અસરકારક રીતે મોનિટરિંગ માટે થાય છે અને વાસ્તવમાં કેટલા કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે, તે આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે.
રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને પ્રોત્સાહન આપવા માટે અમલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2025-26 માટે યોજનાની ખાલી પડેલી બેઠકો ભરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજીસ્ટ્રેશન અથવા ચોઈસ ફિલિંગની પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ હવે ફરી એકવાર અરજી કરી શકશેજે વિદ્યાર્થીઓએ 12 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી પરીક્ષા આપી હતી અને પ્રથમ કામચલાઉ (પ્રોવિઝનલ) મેરીટ યાદીમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ થઈ શક્યા નહોતા તેમજ જેમનું રજીસ્ટ્રેશન અથવા ચોઈસ ફિલિંગ બાકી રહી ગયું છે, તેવા વિદ્યાર્થીઓ હવે ફરી એકવાર આ યોજના અંતર્ગત અરજી કરી શકશે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવાની બીજી તક મળશેશિક્ષણ વિભાગના નિર્ણયથી રાજ્યના અનેક પાત્ર અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવાની બીજી તક મળશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ખાલી રહેલી બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ કરી શકશેપાત્ર વિદ્યાર્થીઓ આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી http://gssyguj.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ કરી શકશે. રજીસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીઓએ જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. યોજનાની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેવિદ્યાર્થીઓ અને વાલીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને નવીનતમ માહિતી માટે નિયમિત રીતે વેબસાઈટની મુલાકાત લે, તેમ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે BCA ઓફિસ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં BCAના પ્રમુખ પ્રણવ અમીને જાહેરાત કરી હતી કે, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. પ્રમુખે સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી હતી અને બધા સભ્યો સર્વાનુમતે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવા સંમત થયા હતા. આ પ્રસંગે બોલતા બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, BCA પારદર્શિતા, શિસ્ત અને લોકશાહી કામગીરી માટે પ્રતિબદ્ધ છે. આગામી ચૂંટણીઓ BCA સભ્યો અને બરોડા ક્રિકેટના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને ન્યાયી અને સુગમ રીતે યોજાશે. ઉપપ્રમુખ અનંત ઇન્દુલકર અને ખજાનચી શીતલ મહેતાએ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ આંતરરાષ્ટ્રીય મેન્સ ODI માટેની વ્યાપક તૈયારીઓ વિશે એપેક્સ કાઉન્સિલને માહિતી આપી હતી. મેચને લઈને સુરક્ષા, હાઉસકીપિંગ, કેટરિંગ અને કામગીરી માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમણે DCP ટ્રાફિક તેજલ પટેલ અને તેમની ટીમ, વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને તેમની ટીમ શહેર અને ગ્રામીણ પોલીસ અધિકારીઓ સાથે ઉત્કૃષ્ટ સંકલન અને સમર્થન માટે તેમની પ્રશંસા કરી હતી તેમની ભલામણોના આધારે BCA દ્વારા સલામતીના ઘણા પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં સલામતી જાળી લગાવવી, કાર પાસની સંખ્યા, ભીડ વ્યવસ્થાપન માટે સ્ટેડિયમમાં વ્યાપક કલર કોડિંગ અને 30,000થી વધુ ફિઝિકલ ટિકિટ જારી કરવી, જેથી દર્શકોને સરળ અનુભવ મળે. અનંત ઇન્દુલકર અને શીતલ મહેતાએ જણાવ્યું હતું કે, પ્રેક્ષકોની સલામતી અને સરળ કામગીરી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ટિકિટો મિનિટોમાં વેચાઈ જવાથી લોકોનો જબરદસ્ત પ્રતિસાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રત્યે વડોદરાના જુસ્સાને દર્શાવે છે. સભ્યોના મફત પાસનું વિતરણ 7 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30થી સાંજે 5:30 વાગ્યા સુધી, મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સંસ્કૃતિ હોલ, એલેમ્બિક ખાતે યોજાશે. દરેક BCA સભ્યને BCA સ્ટેડિયમમાં સરળતાથી પ્રવેશ મળે તે માટે 1+1 મફત હોસ્પિટાલિટી પાસ, BCA કેપ્સ અને રૂટ મેપ્સ પ્રાપ્ત થશે. એપેક્સ કાઉન્સિલે BCAના સિનિયર સિલેક્ટર સંજય હજારેને BCCI અમ્પાયરિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા અને બરોડા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વર્ષ 2025માં ભ્રષ્ટાચારી તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવીને મોટી સફળતા મેળવવામાં આવી છે. એ.સી.બી. દ્વારા આખા વર્ષ દરમિયાન ટ્રેપ, ડીકોય અને સત્તાના દુરુપયોગ સહિત કુલ 213 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ગુનાઓ ગૃહ અને મહેસૂલ વિભાગમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ACBએ 213 ગુનાઓ નોંધી 310 લોકોની ધરપકડ કરીભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વર્ષ 2025ના વર્ષનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષ દરમિયાન લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર સકંજો કસતા ACBએ કુલ 213 ગુનાઓ નોંધી 310 લોકોની ધરપકડ કરી છે. જેમાં સૌથી વધુ ગુનાઓ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વર્ગ-1ના 13 અને વર્ગ-2ના 35 અધિકારીઓ સામે કાર્યવાહીવર્ષ 2025માં એ.સી.બી.એ ટ્રેપ, ડીકોય અને સત્તાના દુરુપયોગ સહિતના વિવિધ 213 કેસ નોંધ્યા છે. જેમાં 13 જેટલા વર્ગ-1 ના ઉચ્ચ અધિકારીઓ અને 35 વર્ગ-2ના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 134 આરોપીઓ વર્ગ-3ના કર્મચારીઓ અને 123 ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1.72 કરોડથી વધુ લાંચની રકમની ગેરરીતિઓ પકડાઈઆ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે 1.72 કરોડથી વધુની લાંચની રકમની ગેરરીતિઓ પકડાઈ છે. વિભાગવાર વાત કરવામાં આવે તો વર્ષ 2025માં પણ સૌથી વધુ ભ્રષ્ટાચારના કિસ્સાઓ ગૃહ વિભાગમાં જોવા મળ્યા છે. જ્યાં કુલ 62 ગુનાઓ નોંધાયા છે. ત્યારબાદ મહેસુલ વિભાગમાં 32 અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં 26 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. 16.59 કરોડથી વધુ બેનામી સંપત્તિનો પર્દાફાશલાંચ સિવાય અપ્રમાણસર મિલકત ભેગી કરનારાઓ પર પણ એ.સી.બી.એ પંજો કસ્યો છે. રાજ્યભરમાં કુલ 16 જેટલા અપ્રમાણસર મિલકતના કેસ નોંધીને રૂ. 16.59 કરોડથી વધુની બેનામી સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ક્લાસ-1 ના એક અને ક્લાસ-2 ના અગિયાર અધિકારીઓનો સમાવેશ થાય છે. લાંચિયાઓ સામે કાર્યવાહી કરવા ટોલ ફ્રી અને વોટ્સએપ નંબર જાહેરભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે એ.સી.બી.એ જનતાને પણ સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું છે. જો કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી કાયદેસરના કામ માટે વધારાના નાણાંની માંગણી કરે તો નાગરિકો કોઈપણ ખચકાટ વિના ટોલ ફ્રી નંબર 1064 અથવા વોટ્સએપ નંબર 90999-11055 પર સંપર્ક કરી શકે છે. તંત્ર દ્વારા સીડી કે પેન ડ્રાઈવ મારફતે પણ પુરાવા સ્વીકારવાની ખાતરી આપવામાં આવી છે જેથી લાંચિયા તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરી શકાય.
પોલીસની કામગીરી અને રાજકીય સંડોવણી સામે ઉઠ્યા સવાલો - રાજુભાઈ સોલંકી તાજેતરમાં સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, જેમાં આઠ જેટલા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ હવે ન્યાયની માંગ સાથે પોલીસ પ્રશાસન અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરતા આપના તથા કોળી સમાજના આગેવાન એવા રાજુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યા છે, હુમલાનું તત્કાલીન કારણ મળતી માહિતી મુજબ, નવનીતભાઈએ લોકગાયક માયાભાઈ આહીરનું ધ્યાન દોર્યું હતું કે મુંબઈના ધારાસભ્ય યોગેશભાઈ સાગર આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' નથી પરંતુ માત્ર 'ટ્રસ્ટી' છે, આ બાબતની સત્યતા સ્વીકારી માયાભાઈએ માફીનો વીડિયો પણ વાયરલ કર્યો હતો, નવનીતભાઈએ ક્યારેય માફીની માંગ કરી નહોતી, છતાં આ સામાન્ય બાબતને લઈને 8 જેટલા શખ્સોએ તેમના પર ઘાતક હુમલો કર્યો હતો, પોલીસની ઢીલી કામગીરી સામે રોષ ઘટનાની વિગતો મુજબ, હુમલા બાદ નવનીતભાઈ જ્યારે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે બગદાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બે-ત્રણ દિવસ સુધી ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. એવું પણ સામે આવ્યું છે કે પોલીસ અધિકારીઓએ મુદ્દાને ડાયવર્ટ કરવાના પ્રયત્નો કર્યા હતા અને ફરિયાદી જે હકીકત લખાવવા માંગતા હતા તે મુજબ ફરિયાદ નોંધવાની ના પાડી હતી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો ગૃહ રાજ્ય મંત્રી અને પ્રશાસન સામે સીધા સવાલોઆ મામલે વિરોધ પક્ષો અને સામાજિક આગેવાનોએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે,ગૃહમંત્રી દ્વારા કરવામાં આવતી કાયદો અને વ્યવસ્થાની વાતો માત્ર કાગળ પર હોય તેમ દેખાય રહ્યું છે, જો પોલીસ તંત્ર ખરેખર નિષ્પક્ષ હોય, તો હુમલાખોરોની સાથે સાથે તેમને છાવરનાર અને ફરિયાદમાં વિલંબ કરનાર પોલીસ અધિકારીઓ સામે પણ FIR નોંધાવી જોઈએ, મુંબઈના ઈશારે આ હુમલો થયો ગંભીર રાજકીય સંડોવણીના આક્ષેપોહોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈ બાલદિયાએ હુમલા પૂર્વેની ઘટનાઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે હુમલાના થોડા સમય પહેલા જ માયાભાઈના પુત્ર જયરાજભાઈનો ફોન આવ્યો હતો અને લોકેશનની પૂછપરછ કરવામાં આવી હતી, આ હુમલાના તાર મુંબઈ સુધી જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ સાગરની ભૂમિકા અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે આ ઘટના પાછળ કોઈ મોટા માથાનો હાથ હોવાની પૂરી શક્યતા છે. મુંબઈના ઈશારે આ હુમલો થયો હોય તેવું જણાય છે, તેથી તમામ શંકાસ્પદ વ્યક્તિઓના કોલ ડિટેલ્સ અને લોકેશનની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, ન્યાય માટે SITની રચનાની માંગ આ સમગ્ર કેસમાં 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ વડા પાસે SIT ની રચના કરવાની માંગ કરવામાં આવી છે, નવનીતભાઈ અને તેમના પરિવારને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય.
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાની કામગીરીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વનો નિર્ણય લેતા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ નવી પદ્ધતિ મુજબ, હવે શહેરમાં નવા રોડ બનાવતા પહેલા પાણી, ડ્રેનેજ અને અન્ય સર્વિસ લાઈનોનું આગોતરું આયોજન કરવાનું રહેશે અને આ લાઈનો મહદઅંશે ફૂટપાથની નીચે નાખવાની રહેશે જેથી વારંવાર રસ્તા ખોદવાની જરૂર ન પડે. કમિશનરે 36 મીટરથી વધુ પહોળા રસ્તાઓમાં કેબલ નાખવા માટે યુટિલિટી ડક્ટ રાખવા તેમજ રોડના અંદાજો ઝડપથી તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. આ નવી કાર્યપદ્ધતિનો તાત્કાલિક અસરથી અમલ કરી શહેરના માર્ગોની ગુણવત્તા જાળવવા અને તમામ ઝોનમાં કામગીરીમાં એકસૂત્રતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નવી SOPથી કામ થશે તો વારંવાર રસ્તા ખોદવાની જરૂર નહીં પડેAMC કમિશનર બંછાનિધિ પાનીએ નવી કાર્ય પદ્ધતિ અંગે જણાવ્યું છે કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં હયાત કાચા રસ્તા અને TP કાચા રસ્તાને પાકા બનાવવા માટે આગોતરૂં આયોજન તેમજ ભવિષ્યમાં જે તે વિસ્તારની સંભવિત જરૂરિયાતને ધ્યાનમાં લઈને નાખવાની થતી પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન, તથા અન્ય સર્વિસ લાઈનો માટે આગોતરૂં આયોજન હાથ ધરીને લાઈનો નાખવા માટે કહ્યું છે. નવા રોડ બનાવતી વેળાએ મોટાભાગે ફૂટપાથ નીચેના ભાગમાં અથવા જે તે TP રસ્તાના 'રાઈટ ઓફ વે' હેઠળ મળતી બિલિંગ લાઈનની ફુટપાથ તરફના 'કેરેજ વે'માં પાણી, ડ્રેનેજ અને સર્વિસ લાઈનો નાંખવાની રહેશે. આ પ્રકારે મહદઅંશે ફુટપાથ નીચે સર્વિસ લાઈનો નાંખીને પાકા રસ્તા બનાવવા માટે દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવાની રહેશે. કેબલ નાખવા માટે પણ યુટીલીટી ડક કરવી પડશેશહેરમાં તૈયાર કરવામાં આવતાં 36 મીટરથી વધુ પહોળાઈના TP રસ્તા, રીસરફેસ કરવા, નવા બનાવવા અને રીગ્રેડ કરીને રીસરફેસ કરવાની કામગીરીના આયોજન સાથે વિવિધ એજન્સીઓને કેબલ નાંખવાના હેતુસર યુટિલિટી ડક્ટનું પ્રોવિઝન રાખવાના આયોજન સાથે કામગીરી કરવાની રહેશે અને કેબલ નાંખવાની પરમીશન આપતી વેળા નિયમ મુજબ ચાર્જ વસૂલવાનો રહેશે. કાર્યપદ્ધતિ અંગે તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચનાશહેરમાં બનાવવામાં આવતા રોડ રસ્તા વધુ મજબૂત અને ટકાઉ બનાવવા, ગુણવત્તાસભર રોડ બનાવવા અને રોડની ક્રસ્ટ ડિઝાઈન સાથેના રોડ તૈયાર કરવામાં જણાવ્યું છે. શહેરમાં ડામરના રોડના કામોના અંદાજ ઝડપથી બનાવીને ટેન્ડર પ્રોસેસ હાથ ધરવા, પેવમેન્ટના રોડ બનાવતાં પહેલાં પાણી, ડ્રેનેજ, વગેરે હયાત યુટિલિટીના 'કન્ડીશનલ એસેસમેન્ટ' કરવા અને શ્રમરના રોડના કામોના અમલીકરણ માટે હયાત કાર્યપદ્ધતિ ઉપરાંતની કાર્યપદ્ધતિ અંગે તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપી છે.
શહેરના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી ધોળા દિવસે ત્રણ અજાણ્યા શખ્સોએ પાંથાવાડાના રહેવાસી છગનનાથ જોગનાથનું અપહરણ કર્યું હતું. ત્રણ અજાણ્યા શખ્સો યુવકને બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા. જે બાદ યુવકને મુક્ત કરવા માટે ચાર લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો રૂપિયા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTVના આધારે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલા યુવકને શંખેશ્વરથી મુક્ત કરવામાં આવ્યો છે. તેમજ અપહરણ અને ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડીને અપહરણ કરીને જતા રહ્યા30 ડિસેમ્બરના બપોરે 1 વાગ્યા આસપાસ પાંથાવાડાના રહેવાસી છગનલાલ જોગનાથ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા. બપોરના સમયે તે રજવાડી ચાની હોટેલ પાસે બેઠા હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો પણ ત્યાં આવ્યા હતા. ચાની હોટેલ પર ઊભેલા છગનલાલ જોગનાથને ત્રણ અજાણ્યા શખ્સો બળજબરીપૂર્વક આવીને રિક્ષામાં બેસાડીને અપહરણ કરીને જતા રહ્યા હતા. જે બાદ આરોપીઓએ યુવકને મુક્ત કરવા માટે 4 લાખની ખંડણી માંગી હતી. તેમજ જો 4 લાખની ખંડણી નહીં આપે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પરિવારે ગભરાઈને યુવક છગનલાલ જોગનાથને મુક્ત કરાવવા માટે પોલીસ પાસે મદદ માંગી હતી. કાગડાપીઠ પોલીસે ફરિયાદ પણ નોધી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે ઘટનાંની તપાસ હાથ ધરી હતી. યુવકને શંખેશ્વરના પીરોજપુર રાખ્યો હોવાનું સામે આવ્યુંઅપહરણકારોએ પીડિતને મુક્ત કરવાના બદલામાં તેના પરિવાર પાસે 4 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિંગ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ડિટેક્ટ કરીને ગુનો નોધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન હરેશ ઠાકોર, નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર યુવકનું અપહરણ કરી શંખેશ્વરના પીરોજપુર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવી પૂછપરછ કરવામાં આવીજે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ટીમ યુવકને મુક્ત કરાવવા માટે મોકલી આપવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓની ઓળખ કરી યુવકને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આરોપી હરેશ અને નરેશના પિતાએ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમજ નડતર દૂર કરવા માટે ભોગ બનનારના સસરા પાસે વિધિ કરાવી હતી. જે વિધિથી કોઈ ફાયદો ન થતા તેમના પર નારાજ થયા હતા. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ કર્યું હતુંજેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ યુવકનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ કર્યું હતું. જે બાદ યુવકને પીરોજપુરા લઈને જઈને માર પણ મારવામાં આવ્યો હતો. ભોગ બનનારને ગંભીર ઇજા થતા તેના કપડા પણ બદલી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી ગુનાની વધુ તપાસ માટે આરોપીઓને કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.
નાયબ કલેક્ટરે હેમતપર ગામની મુલાકાત લીધી:તલાટીના દફતર તપાસ્યા, લોકોના પ્રશ્નો સાંભળી રિપોર્ટ માંગ્યો
મૂળી તાલુકાના હેમતપર ગામમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી-કમ-મંત્રીના દફતરની તપાસણી કરી હતી અને એપેન્ડિક્સ-એ ફોર્મ ભરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવા સૂચના આપી હતી. દફતર તપાસણી દરમિયાન, મુખ્યત્વે ગામ નમૂના નંબર 1 (ખેતીવાડી પત્રક), ગામ નમૂના નંબર 8 (ક) (શિક્ષણ ઉપકર), ગામ નમૂના નંબર 9 (રોજમેળ તથા પહોંચનું પત્રક), ગામ નમૂના નંબર 10 (ચલણ), ગામ નમૂના નંબર 14 (જન્મ – મરણ રજિસ્ટર), ગામ નમૂના નંબર 14 (ડ) (ઢોરોનું રજિસ્ટર), ગામ નમૂના નંબર 17 (આવક – જાવક રજિસ્ટર) અને ગામ નમૂના નંબર 18 (સર્ક્યુલર ફાઇલ) આ તમામ રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો અને અવારનવાર થતા રોગચાળા અંગેની માહિતી રાખવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રી નિયમિતપણે ગામની મુલાકાત લે છે, ડાયરી નિયમિત લખે છે અને પંચાયતની તમામ મિલકતોની દેખરેખ રાખે છે કે કેમ તેવા મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી હતી.
ભારત સરકારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે. આ નિર્ણય ડૉ. શાહના ડેરી અને સંલગ્ન ક્ષેત્રોમાં અસાધારણ નેતૃત્વ અને નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે. ડૉ. મીનેશ શાહ ભારતની અગ્રણી વિકાસલક્ષી સહકારી સંસ્થાઓમાંની એકનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ગ્રામીણ પશુપાલકોના જીવન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ NDDBની મુખ્ય સહાયક કંપનીઓ જેવી કે મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ (MDFVPL), IDMC લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (IIL), NDDB ડેરી સર્વિસિઝ (NDS), NDDB મૃદા લિમિટેડ અને NDDB કાફ લિમિટેડના અધ્યક્ષ પણ છે. આ ઉપરાંત, તેઓ નેશનલ કૉઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI), નેશનલ કૉઑપરેટિવ ઑર્ગેનિક્સ લિમિટેડ (NCOL), એનિમલ બ્રીડિંગ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન, આનંદાલય એજ્યુકેશન સોસાયટી અને NDDB ફાઉન્ડેશન ફૉર ન્યુટ્રિશન (NFN) ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. તેઓ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) ના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય અને IDFની ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ પણ છે. છેલ્લાં ચાર દાયકામાં ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્રને સ્થિતિસ્થાપકતા, વૈશ્વિક નેતૃત્વ અને સર્વસમાવેશક વિકાસની દિશામાં દોર્યું છે. તેમના નવીનીકરણ પરના ફોકસથી સ્થાયી પ્રગતિ થઈ છે, સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થયો છે અને પશુપાલકોનું જીવનધોરણ સુધર્યું છે. કૃષિ વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તેમની કટિબદ્ધતા નોંધપાત્ર રહી છે.
વર્ષ 2011ની 11 માર્ચનો એ દિવસ હતો. કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જાપાનના સમુદ્રમાં 9 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો અને દરિયામાં સરેરાશ 50 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે જાપાનના ફુકુશિમા દાઈચી ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષા દીવાલો કાગળની હોડીની જેમ તૂટી ગઈ. દુનિયા ડર સાથે ટીવી પર બેઠું હતું કે જાપાન પરમાણુ વિનાશનો ફરી ભોગ ન બને. જેને નેટફ્લિક્સની વેબસિરિઝ ધ ડેઝમાં દેખાડવામાં આવ્યો છે. ત્યારે જાપાને કસમ ખાધી હતી કે હવે પરમાણુ ઊર્જાથી કાયમી દૂરી રાખશે. પણ આજે બરાબર 14 વર્ષ, 9 મહિના અને 11 દિવસ પછી જાપાને ન્યુક્લિયર યુ ટર્ન લીધો છે જેના કારણે આ મુદ્દો દુનિયા માટે ટોક ઓફ ટાઉન બન્યો છે. જાપાનના નિગાતામાં દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ફરી ધબકવા જઈ રહ્યો છે. નમસ્કાર.... જાપાન હંમેશા કહે છે કે તે પરમાણુ હથિયાર નહીં બનાવે, નહીં રાખે અને નહીં લાવે. પરંતુ આ ન્યુક્લિયર પ્લાન્ટ શરૂ કરવાથી દુનિયામાં ખાસ કરીને ચીન અને ઉત્તર કોરિયામાં એવો સંદેશ જઈ રહ્યો છે કે જાપાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર પણ બનાવી શકે છે. જાપાનની ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટી એટલે કે NRAએ લાંબી કાયદેસરની લડાઈ અને કડક તપાસ પછી ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપની TEPCOને કાશીવાઝાકી-કરિવા પ્લાન્ટના રિએક્ટર્સમાં ઈંધણ લોડ કરવાની અને તેને ફરી ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. જાપાનનું ફુકુશિમા. 2011માં અહીં સુનામી આવી હતી. નવો પ્લાન્ટ ફુકુશિમાંથી 188 કિલોમીટર દૂર નિગાતામાં બનશે. કારણ કે તે દરિયાની વિરુદ્ધ દિશામાં છે. તેની કેપેસિટી 8 હજાર 200 મેગાવોટ હશે. એટલે કે, દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ હશે. દરિયાની વિરુદ્ધ દિશામાં હોવાથી અહીં સુનામીની અસર ઓછી થશે. પાયાનું કન્ફ્યુઝન દૂર કરવું જોઈએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ પરમાણુ બોમ્બ નથી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી વીજળી બને છે અને ન્યુક્લિયર બોમ્બ વિનાશ સર્જે છે. પાવર પ્લાન્ટ ક્યારેય બોમ્બની જેમ ફાટતા નથી, માત્ર દુર્ઘટના સમયે રેડિયેશન લીક થવાનું જોખમ હોય છે. અને બીજો મોટો મુદ્દો અને ન્યુક્લિયર વેસ્ટનો પણ હોય છે. 2011 માં ત્સુનામી પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે રેડિયેશનના અંશો દરિયામાં વહીને છેક અમેરિકાના કિનારા સુધી પહોંચ્યા હતા. જોકે, હવે આધુનિક વિજ્ઞાને તેનો ઉકેલ શોધ્યો છે. જાપાન હવે આ કચરાને પૃથ્વીની ઊંડી સપાટીમાં ડીપ જિયોલોજિકલ રિપોઝીટરીમાં સુરક્ષિત રીતે દાટવાની ટેકનોલોજી વાપરી રહ્યું છે. કારણ કે આપણે સમજવું પડશે કે ટેકનોલોજી ગમે તેટલી વધે, પ્રકૃતિનું સંતુલન જાળવવું એ જ સાચો વિકાસ છે. જાપાનના નવા પ્લાન્ટની કેપેસિટી 8 હજાર 212 મેગાવોટ એટલે કે 8.2 ગીગાવોટની હશે, જે તેને દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે. પણ એક સવાલ થાય કે અચાનક જાપાને યુટર્ન કેમ લીધો. તો તેનો જવાબ છે પૈસાની તંગી, રશિયા-યુક્રેન યુદ્ધ અને AIના કારણે વીજળીની માગ વધી રહી છે તેને પૂરી પાડવા. 2011ની ત્સુનામી દુર્ઘટના પછી ન્યુક્લિયર, વિનાશ બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોના દબાણના લીધે ત્યારે સરકારે જાપાનના બધા 54 ન્યુક્લિયર રિએક્ટર્સ એક પછી એક બંધ કરી દીધા હતા. તેનું પરિણામ એવું આવ્યું કે જે જાપાન એક સમયે 30 ટકાથી વધુ વીજળી ન્યુક્લિયર રિએક્ટરથી બનાવતો હતો તે રાતોરાત બીજા દેશો પાસેથી મોંઘા કોલસા અને ગેસ લેવા મજબૂર બની ગયો. રિપોર્ટ અને સત્ય એક રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં જાપાને એનર્જી ઈમ્પોર્ટ કરવા માટે દર વર્ષે 200 અબજ ડોલરનો ખર્ચો કર્યો છે. જાપાનની અર્થ વ્યવસ્થા એક સમયે એક્સપોર્ટ પર ટકેલી હતી તે એનર્જીના ઉંચા ભાવોના કારણે ટ્રેડ ડિફિસિટમાં ડૂબી ગઈ. માટે આજે 14 વર્ષ પછી જાપાની લોકોને સમજાયું કે દેશ ભાવનાઓથી નથી ચાલતો, ઘર, ફેક્ટરી અને બિઝનેસ ચલાવવા માટે સસ્તી વીજળી જોઈએ જ.... જેને 3 મુદ્દાથી વિગતવાર સમજીએ... જાપાનનાં ન્યુક્લિયર યૂ ટર્નનાં કારણો1) આર્થિક મજબૂરી 2) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ3) ફોસિલ ફ્યુઅલ Vs. ન્યૂક્લિયર ફ્યુઅલ રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયન ગેસ પરની નિર્ભરતા જાપાન માટે જોખમી સાબિત થઈ. જાપાન અત્યાર સુધી પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં રશિયા પાસેથી Sakhalin-2 પ્રોજેક્ટ દ્વારા ગેસ લેતું હતું. હવે જાપાન તે આ નિર્ભરતા તોડવા માંગે છે. ગેસના ભાવ વધતા જાપાનની વીજળી 20-30% મોંઘી થઈ ગઈ. કાશીવાઝાકી-કરિવાનું માત્ર એક રિએક્ટર શરૂ થાય તો જાપાન વાર્ષિક લાખો ટન LNGની આયાત બચાવી શકશે. આપણે અત્યારે AI વાપરીએ છીએ. પણ શું જાણો છો તમારા એક સર્ચથી તમે 9 સેકન્ડ ટીવી ચાલી શકે એટલી વીજળી વાપરો છો. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) મુજબ, 2026 સુધીમાં AI ડેટા સેન્ટર્સની વીજળીની માંગ આખા જાપાનમાં જેટલી વીજળી વપરાય છે એટલી થઈ જશે. સોલર કે પવન ઉર્જા 24 કલાક એકધારી વીજળી આપી શકતી નથી. જેના માટે જ અહીં પરમાણુ ઉર્જા જ બેઝ-લોડ પૂરો પાડી શકે છે. 1 કિલો કોલસો બાળવાથી જેટલી ઉર્જા મળે, તેના કરતા 1 કિલો યુરેનિયમ માંથી 20-30 લાખ ગણી વધુ ઉર્જા મળે છે. ફોસિલ ફ્યુઅલ એટલે કે કોલસો, તેલ અને ગેસ. જેને સ્ટોર કરવો મોંઘો અને જોખમી છે. સામેની બાજુ એકવાર રિએક્ટરમાં ઈંધણ ભરાઈ જાય પછી તે 18 થી 24 મહિના સુધી સતત વીજળી આપે છે. અને જાપાન એંગલથી સૌથી મહત્વનું કે, જાપાને 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું વચન આપ્યું છે. જો તે કોલસો બાળવાનું ચાલુ રાખે, તો આ ક્યારેય શક્ય નથી. ન્યુક્લિયર એનર્જી એ ઝીરો-એમિશન ઉર્જાનો સૌથી શક્તિશાળી સ્ત્રોત છે. હવે આપણે દુનિયાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સને જાપાનના પ્લાન્ટ સાથે કમ્પેર કરીએ. દુનિયાના મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટભારતનો કુડનકુલમ પ્લાન્ટ, ક્ષમતા 6 હજાર મેગાવોટદક્ષિણ કોરિયાનો કોરી પ્લાન્ટ, ક્ષમતા 6 હજાર મેગાવોટ કેનેડાનો બ્રુસ પ્લાન્ટ, ક્ષમતા 6,430 મેગાવોટ જાપાનનો કાશીવાઝાકી-કરિવા પ્લાન્ટ, 8,212 મેગા વોટ જાપાન એવા વિસ્તારમાં છે જ્યાં ભૂકંપ આવવાની અને ત્સુનામી આવવાની શક્યતા વધારે છે. 2011માં પાવર પ્લાન્ટમાં પાણી ભરાઈ ગયું હતું. તો એક સવાલ થાય કે શું ત્યાં ફરી ભૂકંપ કે ત્સુનામી આવી તો? તો TEPCO એ આ વખતે 1.2 ટ્રિલિયન યેન એટલે કે લગભગ 8 અબજ ડોલરનો ખર્ચ કરીને સુરક્ષામાં જડબેસલાક ફેરફાર કર્યા છે. સુરક્ષા માટે જાપાન શું કરશે? 15 મીટરની સુરક્ષા દીવાલ બનશે ફિલ્ટર્ડ વેન્ટિંગ સિસ્ટમ લવાશે ઈમર્જન્સી પાવર બેકઅપ પણ આ જાહેરાત પાછળ એક મોટો ખેલ પણ છે. વાત ખાલી જાપાનની નથી, આ ન્યુક્લિયર પ્લાન્ટ ચીનની વધતી શક્તિ સામે પણ પડકાર છે. ચીન સાથે હાલ જાપાનની તાઈવાન મામલે લડાઈ છે. સામેની બાજુ ચીન ધડાધડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે. ચીનમાં 60થી વધુ ન્યુક્લિયર રિએક્ટર્સ પ્લાન્ટ તો પાઈપલાઈનમાં છે. ને જાપાનને ચીનથી પાછળ બિલકુલ નથી રહેવું. માટે જ જાપાન હવે અમેરિકા અને ફ્રાન્સ સાથે મળીને બીજા પણ રિએક્ટર્સ બનાવવાના પ્લાનિંગમાં છે તેવા અહેવાલો આવી રહ્યા છે. જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે આપણને એક સ્વાભાવિક સવાલ થાય કે, આ બધું તો ચીનમાં થઈ રહ્યું છે. તેનાથી આપણે શું લેવા દેવા? તો લેવા દેવા છે. જાપાનનો આ નિર્ણય ભારત માટે એક મોટી શીખ છે. ભારત સરકારે પણ હમણાં-હમણાં જ 2 મોટા પગલાં લીધા છે... ભારત સરકારનાં બે સ્ટેપ શાંતિ બિલ 2025રશિયા સાથે SMR ડીલ પહેલું, ભારતે પરમાણુ ઉર્જા ક્ષેત્રે વિદેશી અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે કાયદાકીય ફેરફારો કર્યા છે. અકસ્માત સમયે સામાન આપનાર કંપનીની જવાબદારીના કાયદાને વ્યવહારુ બનાવવામાં આવ્યો છે.બીજું, ભારત રશિયા સાથે મળીને નાના, સુરક્ષિત અને ઝડપથી બની શકે તેવા SMR રિએક્ટર્સ બનાવવા જઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી મુજબ ભારતનો લક્ષ્ય છે કે 2031 સુધીમાં ન્યુક્લિયર કેપેસિટીને 7,489 મેગાવોટથી વધારીને 22,480 મેગા વોટ સુધી લઈ જવામાં આવે. ગુજરાતના દરિયાકિનારે ભૂતકાળમાં પરમાણુ પ્લાન્ટ્સના વિરોધ થયા છે, પણ હવે સમય આવી ગયો છે કે આપણે ઇમોશનલ વિરોધ ને બદલે ઇકોનોમિક રિયાલિટીને સમજીએ. અને છેલ્લે... જાપાનનો આ નિર્ણય દુનિયાને એક સનાતન સત્ય સમજાવે છે કે, ઐતિહાસિક ડરથી તમે થોડો સમય બચી શકો છો, પણ જરૂરિયાત અને વાસ્તવિકતાથી ક્યારેય ભાગી શકાતું નથી. પરમાણુ ઉર્જા એ ભસ્માસુર પણ છે અને કામધેનુ પણ. તમે તેનો ઉપયોગ કઈ રીતે કરો છો તેના પર બધો આધાર છે. જાપાને ફુકુશિમાની રાખમાંથી ફરી બેઠા થવાનું નક્કી કર્યું છે. શું ભારત પણ આ પરમાણુ ક્રાંતિમાં જાપાન જેવી જ હિંમત દેખાડીને પોતાની ‘ઉર્જા આઝાદી’ હાંસલ કરશે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર.(રિસર્ચઃ સમીર પરમાર)
ઉત્તરાયણ પૂર્વે પાટણમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ
પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ સક્રિય બન્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સિટી એ ડિવિઝન પોલીસે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે મુખ્ય હેતુ છે. આ કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોંયની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ ખટકીવાડો અને બુકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉત્તરાયણ પર્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ શહેરમાં શિસ્તબદ્ધ વાતાવરણ જળવાય તે પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને સ્થાનિક વિસ્તારોમાં રાઉન્ડ લગાવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ એવી કુલ 72 રેકડી અને કેબીનો જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરી મુખ્યત્વે જ્યુબેલી, મવડી બ્રિજ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ રાજમાર્ગો પરથી કુલ 4620 ગેરકાયદેસર બોર્ડ અને બેનરો પણ દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા. મનપાની ટીમે શહેરના જામનગર રોડ, યુનિવર્સિટી રોડ અને ધરાર માર્કેટ સહિતના વિસ્તારોમાંથી 3768 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો જપ્ત કર્યો હતો, તેમજ વિવિધ સ્થળોએથી 654 જેટલી પરચુરણ ચીજવસ્તુઓ પણ કબજે કરી હતી. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા મંડપ-કમાન અને છાજલી પેટે રૂ. 1,24,050 અને વહીવટી ચાર્જ પેટે રૂ. 1,02,535 મળી કુલ રૂ. 2,26,585 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક અને જાહેર જનતાની સુવિધા માટે દબાણ હટાવવાની આ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની હડતાળ સમેટાઇ, આરોપીની ધરપકડ બાદ ફરજ પર પરત રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ન્યુરો સર્જન ડો.પાર્થ પંડ્યા પર થયેલા હુમલાના વિરોધમાં ચાલી રહેલી તબીબોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ છતાં 3 દિવસ સુધી આરોપી ન પકડાતા જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈ બુધવારે સાંજે 4 વાગ્યાથી આશરે 200 કરતા વધુ જુનિયર ડોક્ટરો ઇમરજન્સી સિવાયની તમામ સેવાનો ત્યાગ કરી હડતાળ પર ઉતરી ગયા હતા. આ આંદોલનને કારણે હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી અને અનેક માઇનોર ઓપરેશન પાછા ઠેલવા પડ્યા હતા. જોકે, ગઈકાલે સાંજે પ્રદ્યુમન નગર પોલીસે મુખ્ય આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરતા મામલો થાળે પડ્યો હતો. જુનિયર ડોક્ટર એસોસિએશનના સેક્રેટરી ડો.પિન્ટુ ભુતએ જણાવ્યું હતું કે આરોપી પકડાઈ જતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે, તેમજ તમામ તબીબો પોતાની ફરજ પર પરત ફર્યા છે. રાજકોટ જિલ્લામાં આવતીકાલથી બે દિવસીય મતદાર યાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કલેક્ટર તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉના શનિવાર અને રવિવાર દરમિયાન યોજાયેલી ઝુંબેશમાં જિલ્લાના 8 વિધાનસભા મતવિસ્તારના 2512 મતદાન મથકો પરથી નવા નામ ઉમેરવા અને સુધારા-વધારા માટે કુલ 28,368 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જિલ્લામાં અંદાજે 2.25 લાખ લોકોએ હજુ સુધી મેપિંગ કરાવ્યું ન હોવાથી તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પરિણામે અત્યાર સુધીમાં 30,392 મતદારોએ પુરાવા રજૂ કરી મેપિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ 10,038 મતદારો રાજકોટ પશ્ચિમ વિસ્તારમાંથી અને સૌથી ઓછા મતદારો જસદણ બેઠક વિસ્તારમાંથી નોંધાયા છે. પ્રક્રિયાને વેગ આપવા માટે હવે આવતીકાલથી ફરી એકવાર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાના તમામ 2512 બૂથ પર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બી.એલ.ઓ. હાજર રહેશે. જે નાગરિકોને નામ નોંધણી, નામ કમી કરાવવા કે વિગતોમાં સુધારો કરાવવાનો બાકી હોય, તેઓ રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવી આ તકનો લાભ લઈ શકશે.
ભરૂચ SOGએ 4 વર્ષથી ફરાર આરોપીને પકડ્યો:ઘરફોડ ચોરીના ગુનામાં સુરતથી ઝડપી C ડિવિઝનને સોંપ્યો
ભરૂચ શહેરના 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ SOG ટીમે ઝડપી પાડ્યો છે. આ કામગીરીને એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ભરૂચ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા અને એ.એચ. છૈયાના નેતૃત્વ હેઠળ ટીમ સક્રિય હતી. આ દરમિયાન SOGમાં ફરજ બજાવતા ASI ધર્મેન્દ્ર જુલાલભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી શ્યામવીર ઉર્ફે ચમનુ ભૈયા શ્રીરામઅવતાર કુસ્વાહા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસલી વિસ્તારમાં હાજર હતો. આ માહિતીના આધારે SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. તેઓ મોસલી ગામમાં હનીફભાઈના ભંગારના ગોડાઉન ખાતે પહોંચ્યા અને આરોપીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને ઝડપી લીધો હતો. આરોપીને વધુ તપાસ માટે ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
છોટા ઉદેપુર જિલ્લા LCBએ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શેવરોલેટ ગાડીમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની 1450 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં, છોટા ઉદેપુર જિલ્લા LCBની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શેવરોલેટ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ખાંટિયાવાંટ તરફથી બોડેલી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે LCB ટીમે ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 23 AF 8090 નંબરની શેવરોલેટ ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની વિદેશી દારૂની 1450 બોટલ મળી આવી હતી. LCB ટીમે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ, રાજકોટના મહાત્મા ગાંધી સોસાયટી, શેરી નં. 30, 80 ફૂટ રોડ, જંગલેશ્વરના રહેવાસી મકબુલ ઉર્ફે મકો ફરીદભાઈ ડોડેરા અને જંગલેશ્વર મેઈન રોડ, શેરી નં. 31, રાજકોટના રહેવાસી અલ્તાફભાઈ છોટુભાઈ પીરઝાદાની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ, ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 7,89,220/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના શંકાસ્પદ કેસોમાં ઉછાળો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને સેક્ટર-24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં રોગચાળો ફેલાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ અને ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં છૂટાછવાયા 67 શંકાસ્પદ કેસ સામે આવતા સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ટાઇફોઇડના 67 શંકાસ્પદ કેસો નોંધાયાગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના શંકાસ્પદ કેસોમાં ઉછાળો આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે મનપા આરોગ્ય તંત્રના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 42 દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર-24 તથા 29 ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આરોગ્યની ટીમો દ્વારા 10 હજાર ઘરોનું સ્કેનિંગ કરાયુંવધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 38,000થી વધુની વસ્તીને આવરી લેતા 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી રહ્યું છે. રોગચાળાને અટકાવવા માટે 20 હજાર ક્લોરીન ટેબલેટ, 5 હજાર ઓઆરએસ પેકેટની અને 10 હજાર જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી છે. પાણીનું 'સુપર ક્લોરીનેશન'આ ઉપરાંત લીકેજ રિપેરિંગ અને સુપર ક્લોરીનેશન ની કામગીરી પણ કરવામાં આવી છે.પાણીજન્ય રોગચાળો હોવાથી તંત્ર દ્વારા પાણીના જોડાણોમાં તપાસ કરતા 10 નાના-મોટા લીકેજ મળી આવ્યા હતા, જેનું તાત્કાલિક રિપેરિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં પાણીનું 'સુપર ક્લોરીનેશન' કરવામાં આવી રહ્યું છે. પાણી ઉકાળીને પીવા અપીલમ્યુનિસિપલ કમિશનર દ્વારા દરરોજ આ મામલે રિવ્યુ મીટિંગ યોજવામાં આવી રહી છે. કમિશનર સહિત સીટી ઇજનેર અને આરોગ્ય અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આરોગ્ય વિભાગે નાગરિકોને પાણી ઉકાળીને પીવા, બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અને હાથની સ્વચ્છતા રાખવા ખાસ અપીલ છે.
હિંમતનગર નાગરિક સહકારી બેંકના આગામી પાંચ વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. બીજા દિવસે કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આ ચૂંટણી 13 ડિરેક્ટર પદો માટે 11 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં આવેલી હિંમતનગર નાગરિક સહકારી બેંક એક મુખ્ય શાખા અને છ બ્રાન્ચ સહિત કુલ સાત શાખાઓ ધરાવે છે. બેંકમાં 65 કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેના 32,876 સભાસદો છે. આગામી ચૂંટણીમાં 10 સામાન્ય બેઠકો, બે મહિલા બેઠકો અને એક SC/ST બેઠક મળી કુલ 13 ડિરેક્ટર પદો માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ હતી. ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારીયાએ જણાવ્યું હતું કે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 3 જાન્યુઆરી, 2026 છે. શુક્રવારે સવારે 11 થી સાંજના 4 કલાક દરમિયાન ફોર્મનું વિતરણ અને સ્વીકાર કરવામાં આવ્યો હતો. બીજા દિવસે કુલ 11 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું, જેમાં સામાન્ય બેઠક માટે 7, SC/ST બેઠક માટે 1 અને મહિલા બેઠક માટે 3 ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે સામાન્ય બેઠક માટે 5, SC/ST બેઠક માટે 5 અને મહિલા બેઠક માટે 2 એમ કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે.
હિંમતનગરમાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે:પૂર્વ તૈયારી માટે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં આગામી 26 જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આયોજન અંગે જિલ્લાના અમલીકરણ અધિકારીઓની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની મુખ્ય ઉજવણી હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. ઉજવણીના સુચારુ આયોજન માટે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેમને કામગીરીની ફાળવણી કરવામાં આવી હતી. આ બેઠકમાં મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, ડી.વાય.એસ.પી. પાયલ સોમેશ્વર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી આજે છ ફ્લાઈટ કેન્સલ:ધુમ્મસને કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતા 8 ફ્લાઈટ ડીલે થઈ
દેશભરમાં ભારે ઠંડી અને ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ એરપોર્ટ પર સવારે તથા મોડી સાંજે ટેકઓફ અને લેન્ડિંગ કરતી ફ્લાઈટના પાયલોટને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ન મળતી હોવાની પાયલોટોની ફરિયાદને પગલે ટેકઓફ સમયે ડીલે કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અમદાવાદથી જતી કુલ 6 ફ્લાઇટ કેન્સલ અને અમદાવાદ આવતી-જતી કુલ 8 ફ્લાઈટો તેમના નિયત સમય કરતા કલાકો સુધી લેટ પડી હતી. લેટ આવી રહેલી ફ્લાઈટો અમદાવાદથી પણ કલાકો મોડે રવાના થતાં તેમનું શિડ્યૂલ ખોરવાયું હતું. અરાઇવલ ડીલે ફ્લાઇટ અરાઇવલ કેન્સલ ફ્લાઇટ ડિપાર્ચર ડીલે ફ્લાઇટ ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ
મહેસાણા શહેરમાં શુદ્ધ ખોરાકના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા દેદીયાસણ GIDC વિસ્તારમાં આવેલી બે ડેરીમાં જય મહાકાળી ડેરી થતા નમન મિલ્ક ડેરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરીને શંકાસ્પદ પનીર બનાવવાતી બે કંપની ઝડપી પાડી છે. તેમજ 2.72 લાખનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. જય મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં ભેળસેળમહેસાણા ફૂડ વિભાગની ટીમને બાતમી મળી હતી કે, દેદીયાસણ GIDC વિસ્તારમાં બે ડેરીમાં શંકાસ્પદ પનીર બનાવવામાં આવી રહ્યું છે. તે બાતમી આધારે દેદીયાસણ gidcમાં આવેલ જય મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતાતપાસ દરમિયાન જય મહાકાળી ડેરીમાંથી વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનું સામે આવતા વનસ્પતિ તેલના નમૂના લઈ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.તેમજ નમન ડેરી માંથી પણ પનીર ના નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા છે. 2.72 લાખનો જથ્થો સિઝ કરાયોસમગ્ર તપાસ દરમિયાન જય મહાકાળી ડેરીમાંથી 604 કિલોગ્રામ લુઝ પનીર કિંમત 1,35,900 થતા વનસ્પતિ તેલ 15 કિલોગ્રામ કિંમત 10,034 થતા નમન મિલ્ક ડેરી માંથી 574 કિલોગ્રામ લુઝ પનીર કિંમત 1 લાખ 26 હજાર 280 મળી કુલ 2 લાખ 72 હજાર 214નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ આદરી છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેવાના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ બાગવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. આવાસના હપ્તા પાસ કરાવવા માટે અરજદાર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા બાગવાલાને આજે કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સોબાન બાગવાલાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાના નાણાં છૂટા કરવા માટે એક અરજદાર પાસેથી રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. અરજદારની ફરિયાદને આધારે, ગોધરા એસીબીની ટીમે ગઇકાલે છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ માટે મહીસાગર એસીબીની ટીમે આજે આરોપીને ગોધરા કોર્ટમાં રજૂ કર્યો હતો. એસીબી દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ પાસેથી નાણાં પડાવતા ભ્રષ્ટ કર્મચારીઓ સામે એસીબીએ કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીને પગલે પંચમહાલ જિલ્લાના અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠક વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રદર્શનમાં બોટાદ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે હતી. આ પ્રદર્શન 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટમાં યોજાશે. કલેક્ટરે બેઠક દરમિયાન VGRCના મહત્ત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ બોટાદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની સુવ્યવસ્થિત અને સુસંગત ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં એક્ઝિબિશન સ્થળે જવા માટે જરૂરી મુસાફરી વ્યવસ્થા, સમયપત્રક, વિભાગવાર આયોજન અને પરસ્પર સંકલન સહિતની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત તમામ વિભાગોને સુનિયોજિત આયોજન સાથે પરસ્પર સંકલન જાળવી કામગીરી કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે બોટાદ જિલ્લાની સક્રિય અને સુવ્યવસ્થિત ભાગીદારી સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.
કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને રોકવા માટે લડાઈ લડી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમ પણ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે. જોકે હવે NSUI પણ ડ્રગ્સમાં દૂષણને રોકવા માટે મેદાને આવી ગયું છે. ડ્રગ્સનું દુષણ કોલેજ અને શાળાઓના કેમ્પસ સુધી પહોંચી ગયું હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેથી NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી. ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે દરમિયાન રાજ્યભરમાંથી NSUIના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી અને ઇન્દ્રવિજસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆતઠાકોરભાઈ દેસાઈ હોલમાં માટે મોટી સંખ્યામ NSUIના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આગામી 5 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી NSUI ના કાર્યકર્તાઓ 200 જેટલા કેમ્પસમાં યુવાનોને ડ્રગ્સ મુક્ત રાખવા માટેના કાર્યક્રમ યોજવાની છે. કોલેજ અને શાળાઓના કેમ્પસમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયું હોવાથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રાખવા માટે પ્રતિજ્ઞાજેથી NSUI ના કાર્યકર્તાઓ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને ડ્રગ્સથી દૂર રહેવા માટે અને અન્ય વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રાખવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા પણ લેવડાવશે. તેમજ ડ્રગ્સથી શરીરને કેટલું નુકશાન થાય છે તેના અનુભવી ડોક્ટરોને સાથે રાખીને સેમિનાર પણ યોજાશે. શાળાઓ અને કોલેજોના કેમ્પસ જ્ઞાનનું મંદિર છે તેને ડ્રગ્સનો અડ્ડો નહીં બનવા દઈએ તેવા સંકલ્પ સાથે NSUI ના કાર્યકર્તાઓ અલગ અલગ કાર્યક્ર્મ યોજવાના છે. '800 જેટલી કોલેજો સુધી ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન'ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, 800 જેટલી કોલેજો સુધી ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન લઈ જવામાં આવશે. યુવાનોને કઈ રીતે આ ડ્રગ્સના દૂષણથી બચાવી શકાય તે માટેનો સંકલ્પ આજે લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે પરંતુ ક્યાંથી આવે છે અને કોણ મંગાવે છે તેનો કોઈ અતોપતો હોતો નથી. પહેલા ઉડતા પંજાબ હતું હવે ઊડતા ગુજરાત બની ગયું છે. જેથી દરેક કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવડાવવામાં આવશે કે હું ડ્રગ્સ લઈશ નહીં અને કોઈને પણ લેવા નહી દઉ.
ગુજરાત પોલીસના 'મોસ્ટ વોન્ટેડ' અને છેલ્લા અઢી દાયકાથી પોલીસને હાથતાળી આપી રહેલા લૂંટ તથા આર્મ્સ એક્ટના ગુનાના રીઢા આરોપીને પકડવામાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. વર્ષ 2000માં નવસારી સબજેલની બારીના સળિયા કાપીને ફરાર થયેલા શશીભૂષણ ઉર્ફે પિન્ટુસિંગ રાજપૂતને હરિયાણાના ફરીદાબાદથી દિલધડક ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં નવસારી એલસીબીના કર્મચારીઓએ ફરીદાબાદમાં સ્થાનિક ફેરીયાઓનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો છે કયા કયા વેશ ધારણ કર્યા?કેટલા કર્મચારીઓએ ફળ વેચતા કર્મચારીઓનો વેશ ધારણ કર્યો, તો વળી કેટલાક કર્મચારીઓએ રીક્ષા ચલાવી આરોપીની રેખી કરી,એક કર્મચારીઓ સ્વીટની દુકાનની બહાર સ્વીટ પણ વેચ્યા હતા, કોઈએ રસ્તા ઉપર પેન્ટ શર્ટ વેચ્યા, તો એક કર્મચારીએ લારી પર ફાસ્ટ ફૂડ પણ વેચ્યું સમગ્ર ઘટના શું હતી?વર્ષ 1999માં વલસાડ જિલ્લાના પારડી, ઉમરગામ અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હથિયારધારા હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાઓમાં આરોપી શશીભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુસિંગ તપેબહાદુર રાજપૂત જેલમાં બંધ હતો. 27 મે, 2000ના રોજ આરોપીએ અન્ય બે સાથીદારો સાથે મળીને નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા હેક્સો બ્લેડ વડે કાપી નાખ્યા હતા. ત્યારબાદ જેલની કંપાઉન્ડ વોલ પર આવેલી ઇલેક્ટ્રિક ફેન્સિંગ પર ચાદર નાખી, દીવાલ કૂદીને તે ફરાર થઈ ગયો હતો. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે જેલ ફરારીનો ગુનો નોંધાયો હતો. 8 મહિનાનું સતત ટ્રેકિંગ, ટેક્નિકલ સર્વેલન્સ પીઆઈ એસ.વી. આહીર અને આર.એસ. ગોહિલે છેલ્લા 8 મહિનાથી કેસ પેપરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને અવિનાશસિંહે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલ અને મનોજને પાકી બાતમી મળી કે આરોપી હરિયાણાના ફરીદાબાદના પલ્લા વિસ્તારમાં નામ બદલીને રહે છે. વેશપલ્ટો કરી ફિલ્મી ઢબે આરોપીને દબોચ્યોબાતમીના આધારે નવસારી LCBની ટીમ હરિયાણા પહોંચી હતી. ફરીદાબાદના શનિ માર્કેટમાં આરોપી કલર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસ ઓળખાઈ ન જાય તે માટે ટીમના સભ્યોએ છૂપો વેશ ધારણ કર્યો હતો. જેવો આરોપી માર્કેટમાં દેખાયો કે તરત જ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને કોર્ડન કરી લીધો હતો. 25 વર્ષ બાદ આ ખુંખાર આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા 4 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે યોજાશે. આ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના સાત પરીક્ષા કેન્દ્રો પર કુલ 1835 ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 1835 ઉમેદવારોમાંથી 1807 સામાન્ય અને 28 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે 238 કર્મચારીઓની ફરજ ફાળવવામાં આવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વલસાડ જિલ્લા અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે વીડિયો કોન્ફરન્સ મારફતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અધિક જિલ્લા કલેક્ટરે પરીક્ષા કેન્દ્રોની તૈયારી, બિલ્ડિંગ અને બ્લોક વ્યવસ્થા, CCTV કાર્યરત સ્થિતિ, પોલીસ બંદોબસ્ત, સ્ટ્રોંગરૂમની સુરક્ષા, 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, વાહનવ્યવહાર, સતત વીજ પુરવઠો, પીવાના પાણી તથા આરોગ્ય સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર શ્વેતા પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. મનોજ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડમાં પરીક્ષા યોજાનારા કેન્દ્રોમાં કુસુમ વિદ્યાલય, સેન્ટ જોસેફ ઇંગલિશ સ્કૂલ, બાઈ આવબાઈ હાઈસ્કૂલ, જમનાબાઈ સાર્વજનીક કન્યા વિદ્યાલય, આર.એમ.વી.એમ. સ્કૂલ, બીએપીએસ સ્વામીનારાય યુનિટ-1 અને બીએપીએસ સ્વામીનારાય વિદ્યામંદિર યુનિટ-૨નો સમાવેશ થાય છે.
તળાજા તાલુકા કક્ષાનો જાન્યુઆરી–2026નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 28/01/2026 (બુધવાર)ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે યોજાશે. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી, તળાજાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અરજદારોની રજૂઆતો સાંભળી યોગ્ય નિકાલ કરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રશ્નો રજૂ કરવા ઇચ્છતા અરજદારોને તેમના પ્રશ્નો અંગેના આધાર પુરાવા સાથેની અરજી તા.15/01/2026 સુધીમાં રજૂ કરવાની રહેશે. અરજી “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ મામલતદાર, તળાજાને પુરાવા સાથે આપવાની રહેશે. કાર્યક્રમ દરમિયાન સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં, તેમ તળાજા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે
જામનગર શહેરમાં વીજચોરી પકડવા માટે PGVCLની ચેકિંગ સ્કવોડ દ્વારા વહેલી સવારથી મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સંખ્યાબંધ વિસ્તારોને નિશાન બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં વીજચોરીનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે. આ દરોડામાં કુલ 35 ટીમો જોડાઈ હતી. બેડી, બેડેશ્વર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ, લીમડા લેન, ગાંધીનગર અને મોમાઈનગર સહિત શહેરના મધ્ય તેમજ છેડાના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. PGVCLની આ કાર્યવાહીમાં વડોદરા અને રાજકોટથી આવેલી વિજીલન્સ ટીમો પણ સ્થાનિક ટીમો સાથે જોડાઈ હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને SRPના જવાનોની મદદ પણ લેવામાં આવી હતી. ઘણા સમય બાદ શહેરમાં આટલા મોટાપાયે વીજચોરી પકડવા માટે ચેકિંગ હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં જામનગરમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (TD) લોસ સૌથી વધુ છે. આનો અર્થ એ થાય છે કે, વીજળીનો પુરવઠો વધુ હોય છે, પરંતુ તેની સામે બિલિંગ ઓછું થાય છે, જે વીજચોરી સૂચવે છે. આ દરોડાને કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે અને પકડાયેલી વીજચોરીનો આંકડો મોટો હોવાની શક્યતા છે.
પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો અને પરિવારના અન્ય સભ્યો પણ આ દિવ્ય દર્શનમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ મંદિર પરિસર છોડતા સમયે ઉપસ્થિત લોકો અને મીડિયાને 'જય સોમનાથ.. હર હર મહાદેવ' કહી અભિવાદન કર્યું હતું. હેલિકોપ્ટર મારફતે અંબાણી પરિવારનું આગમનમુકેશ અંબાણી અને તેમનો પરિવાર ખાસ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે આવી પહોંચ્યો હતો. ત્યાંથી તેઓ સીધા જ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા અંબાણી પરિવારનું પરંપરાગત રીતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધિવત સોમેશ્વર પૂજા કરી જળાભિષેક કર્યોમંદિરમાં પ્રવેશ્યા બાદ અંબાણી પરિવારે સોમનાથ મહાદેવના શિખર દર્શન અને ગર્ભગૃહમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. પરિવારે મહાદેવને શ્રદ્ધાપૂર્વક જળાભિષેક કર્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમેશ્વર પૂજા અને વિશેષ અર્ચના કરવામાં આવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. દેશની સમૃદ્ધિ અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરીદેશના આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારને પોતાની વચ્ચે જોઈને અન્ય શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન બાદ એવી વિગતો જાણવા મળી હતી કે અંબાણી પરિવારે ભગવાન સોમનાથ પાસે દેશની સમૃદ્ધિ અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઅંબાણી પરિવારની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિલાયન્સ ગ્રુપની ખાનગી સુરક્ષા ટીમોની સાથે સ્થાનિક પોલીસે પણ હેલિપેડથી લઈને મંદિર પરિસર સુધી કડક દેખરેખ રાખી હતી, જેથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે અને સુરક્ષા જળવાઈ રહે.
આખરે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ 1500 કરોડના જમીનકૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. EDની તપાસમાં રાજેન્દ્ર પટેલનો લાંચમાં 50% હિસ્સો હોવાનું અને 10 કરોડનો હિસાબ સામે આવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુભાષબ્રિજ બાદ દધીચિબ્રિજમાં પણ તિરાડ અમદાવાદના વધુ એક બ્રિજમાં તિરાડ પડી. દધીચિબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે અને હેવી વ્હીકલ્સ નીકળતાં અહીં વાઈબ્રેશન પણ વધી ગયું છે. આ એ જ બ્રિજ છે, જ્યાં હાલમાં બંધ સુભાષબ્રિજનો ટ્રાફિક ડાઇવર્ટ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વર્ધમાન ડેવલપર્સની સાઈટ બંધ કરી દેવાઈ બે શ્રમિકોના મોત બાદ અમદાવાદની વર્ધમાન પેરેડાઈઝ સાઈટ બંધ કરી દેવાઈ. બાંધકામ દરમિયાન સેફ્ટી વગર કામ કરતા શ્રમિકો ચોથા માળેથી પટકાયા હતા, જેમાં બેનાં મોત થયાં હતા. ડેવલપર-એન્જિનિયરને નોટિસ આપી ખુલાસો માગ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત પોલીસબેડામાં શું રંધાઈ રહ્યું છે? શું શમશેર સિંહ બનશે ગુજરાતના નવા ડીજીપી. આ સવાલ એટલા માટે, કેમ કે શમશેર સિંહને દિલ્હીથી ગુજરાત બોલાવવામાં આવ્યા છે. કે.એલ.એન રાવને ઈન્ચાર્જ ડીજીપી બનાવાયાના એક જ દિવસમાં લેવાયેલા આ નિર્ણયથી અટકળો તેજ બની છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંગેતરની હત્યા કરી ગોળ ગોળ ફેરવતી રહી યુવતીવડોદરામાં યુવતીએ જ તેના મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી. ત્રણ દિવસ સુધી તેણે યુવકને ઊંઘમાં કંઈક થઈ ગયું હોવાની વાર્તા કરી હતી, જોકે યુવકના ગળે પડેલાં નિશાનની ભેદ ખૂલ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 35 દિવસથી ગુમ સગીરાનો કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો સુરતમાં 35 દિવસ બાદ પણ સગીરાના અપહરણ મામલે કોઈ કાર્યવાહી ન થતાં પાટીદાર સમાજે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. એે બાદ પોલીસે આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપ્યો છે. સગીરાને ભગાડી જનાર બે સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર હેઠળ નડિયાદમાં આવેલા સરકારી કન્યા છાત્રાલયમાં અજાણ્યો શખસ અડધી રાતે બારી ખખડાવી મેન લાઇટ બંધ કરી દે છે. વોર્ડન વિદ્યાર્થિનીઓની ફરિયાદ ન સાંભળતાં હવે શી ટીમ વિદ્યાર્થીઓની વહારે આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવરાજસિંહે RTIમાં ખુલાસા માગ્યા જૂનાગઢમાં વીજ કંપનીના અધિવેશનમાં સત્તા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ થયાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો. તેમણે કહ્યું હતું કે પ્રજા વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહી છે, જ્યારે ખાનગી કાર્યક્રમોમાં બે-બે પાવર ફીડર વાપરવામાં આવ્યાં હતાં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નબીરાઓએ લક્ઝુરિયસ કારની રેસ લગાવી નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં બીએમડબ્લ્યુ અને મહિન્દ્રા કારે રેસ લગાવી.150 કિમીથી વધુની સ્પીડે ગાડી ચલાવી 3 કાર અને 3 વીજપોલનો કચ્ચરઘાણ વાળી દીધો. અકસ્માત સર્જીને આરોપી મંથન પટેલ ભાગતો પણ જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માવઠાં બાદ તાપમાનમાં આવશે ઘટાડો કમોસમી વરસાદ બાદ હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા એલિમ્કો કાનપુર સંસ્થાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ સહિત ચાર તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને સાધન-સહાય પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા અંદાજે 115 દિવ્યાંગ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. અગાઉ સંસ્થાના નિષ્ણાતો દ્વારા આ બાળકોનું મૂલ્યાંકન કરાયું હતું. આ મૂલ્યાંકનના આધારે વ્હીલચેર, કેલિપર્સ, સીપી ચેર, બગલઘોડી અને ડિજિટલ હિયરિંગ મશીન જેવા સાધનોનું વિતરણ કરાયું. એમ.આર. ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. આ સાધન સહાય કેમ્પનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ એ. વાઘેલા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર સુરેશ શ્રીમાળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેશ બદ્રેશિયા અને તેમની સ્પે. એજ્યુકેટર તથા વિશિષ્ટ શિક્ષકોની ટીમે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સરકારી સહાય ઉપરાંત સામાજિક સેવાનો પણ સમન્વય જોવા મળ્યો. દાતા કશ્યપ જગદીશચંદ્ર આચાર્ય અને તેમના પરિવારે કેમ્પમાં હાજર તમામ દિવ્યાંગ બાળકોને પાણીની બોટલ, ચિક્કીનું બોક્સ, બિસ્કીટ, ચોકલેટ અને કેક જેવી ભેટ આપી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને જીવનશૈલીમાં સુધારો લાવવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો.
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના પરિવાર મિત્રો અને સ્નેહીજનો સાથે આવતા હોય છે. ત્યારે ભાવનગરના એક યાત્રિકનું ગિરનાર સીડીના ₹2500 પગથિયેથી પડી જતા મોત નીપજતાં ચકચાર મચી છે. અમદાવાદના એક આધેડનું ખીણમાં ખાબકતા મોત જૂનાગઢના ગિરનાર પર્વત પર ઉતરતી વખતે પગ લપસી જતાં અમદાવાદના એક આધેડનું ખીણમાં ખાબકતા મોત નિપજ્યું છે. 31 ડિસેમ્બરની સવારે બનેલી આ ઘટનામાં ડોલીવાળાઓએ ભારે જહેમત બાદ આધેડને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. મૂળ ભાવનગરના જેસરના અને હાલ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ અમૂલભાઈ દોશી ગત 31 ડિસેમ્બરના રોજ ગિરનાર પર્વતની યાત્રાએ આવ્યા હતા. સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ પર્વતના 2500 પગથિયાં પાસે પહોંચ્યા હતા.ત્યારે અચાનક સંતુલન બગડતા તેઓ સીધા ઊંડી ખીણમાં ખાબક્યા હતા. ડોલીવાળાઓએ રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢ્યોઘટનાને પગલે આસપાસના યાત્રિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યાં હાજર ડોલીવાળાઓ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા અને ખીણમાં ઉતરી આશિષભાઈને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ડોલી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ વધુ હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકનું મોજું, પોલીસ તપાસ શરૂમૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા. આ અકસ્માત અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત BNSS 194 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના માતા રસીલાબેન અમૂલભાઈ દોશીએ આ અંગેની જાણકારી પોલીસને આપી હતી. વર્ષના અંતિમ દિવસે બનેલી આ ઘટનાથી પરિવાર અને જેસર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. યાત્રિકો માટે સાવચેતીની ચેતવણીગિરનાર પર્વત પર અનેક જગ્યાએ સીડીઓ સાંકડી અને ઢોળાવવાળી છે. વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા યાત્રિકોને વારંવાર સૂચના આપવામાં આવે છે કે પર્વત પર ચડતી કે ઉતરતી વખતે લપસણી જગ્યાએ બેસવાનું કે સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને થાક લાગે ત્યારે સુરક્ષિત જગ્યાએ જ આરામ કરવો હિતાવહ છે.હાલ ભવનાથ પોલીસે મૃતદેહનું પીએમ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને બનાવના સ્થળે જઈ વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો6 યુવાન પગથિયાં છોડી શોર્ટકટથી ગિરનાર ચઢ્યા:પહાડ પર જોખમી ટ્રેકિંગ કરી જીવ જોખમમાં મૂક્યો, વન વિભાગે 10 હજારનો દંડ ફટકાર્યોગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેમાં 6 યુવાન સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. આ જોખમ કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત.(વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે સરકારી આરોગ્ય સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એક 'રોલ મોડેલ' બનીને ઉભર્યું છે. 'દર્દી સેવા એ જ પ્રભુ સેવા'ના મંત્રને વરેલા આ કેન્દ્રે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને પાછળ છોડીને સૌથી વધુ ઓ.પી.ડી.29,000 કરતા વધુ, સૌથી વધુ આઈ.પી.ડી. 4700 કરતા વધુ અને સૌથી વધુ લેબટેસ્ટ અંદાજીત 37000 જેટલા લેબ ટેસ્ટ કરવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ડો. રાકેશ ખીમાણી અને ડો. ધવલકુમાર દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડની ટીમ “દર્દી દેવો ભવ:” ની ભાવનાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આથી વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માત્ર સારવાર જ નહીં, પરંતુ આધુનિક ડિજિટલ સુવિધાઓમાં પણ અગ્રેસર છે. નવતર પહેલના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ડિજિટલ ફીડબેક સિસ્ટમનું અમલીકરણ થતાં પેપરલેસ અભિગમ અપનાવી દર્દીઓ, સ્ટાફ અને આશા બહેનો માટે ડિજિટલ સંતોષ સર્વે શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોએ ડિજિટલ માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા છે. પારદર્શક વહીવટ અંતર્ગત આવશ્યક દવાઓની યાદી (EDL), ડિજિટલ લાયબ્રેરી, ડિજિટલ વિઝિટ બુક અને ફરિયાદ નિવારણ પ્રણાલી સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં કાર્યરત છે. સરકારી માર્ગદર્શિકા મુજબ થતા લેબટેસ્ટના રિપોર્ટ દર્દીઓને A4 સાઈઝના પેપર પર પ્રોપર ફોર્મેટમાં આપવામાં આવે છે જે ખાનગી લેબોરેટરી જેવી ગુણવત્તાનો અહેસાસ કરાવે છે. પર્યાવરણ પ્રેમી ‘ગ્રીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજબ આરોગ્ય કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાળવણી માટે લેવાયેલા પગલાં અનન્ય છે. હોસ્પિટલની અંદરના ભાગમાં અને વોશરૂમ્સમાં પણ ખાસ ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવીને ઓક્સિજન યુક્ત શુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સૌર ઊર્જા અને જળ સંચય અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણપણે સોલર પેનલથી સજ્જ છે. સાથે જ ભૂગર્ભ જળના સ્તર વધારવા માટે વોટર હાર્વેસ્ટિંગની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. વેઈટિંગ એરિયામાં દર્દીઓ માટે ડિજિટલ માહિતી અને આરોગ્ય શિક્ષણની સુવિધા માટે સ્ક્રીન લગાવવામાં આવી છે. જેનાથી સારવારની રાહ જોતા દર્દીઓ આરોગ્યલક્ષી જાગૃતિ મેળવી શકે. આ તમામ નવીન પ્રયોગોને કારણે વાળુકડ પી.એચ.સી. એ દર્દીઓના સંતોષના સ્તરમાં ધરખમ વધારો કર્યો છે. આમ, વાળુકડ પી.એચ.સી. એ સાબિત કર્યું છે કે જો દ્રઢ સંકલ્પ અને આધુનિક અભિગમ હોય તો સરકારી સંસ્થા પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
નવસારીના ગાંધી ફાટક પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે દિવસીય રમતગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીના આશીર્વાદ સાથે આ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રી-પ્રાઇમરીથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતગમત મહોત્સવનો પ્રારંભ ભવ્ય પરેડથી થયો હતો. પરેડ બાદ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયા, આચાર્ય હિરેન ઉપાધ્યાય, ઉપાચાર્ય ભાવનાબેન નાયક અને કો-ઓર્ડીનેટર પાયલબેન, આશાબેન, મનમિતબેન, જીનલબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલ ગોંડલીયાએ વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતના મહત્વ વિશે સમજાવ્યું હતું. આચાર્ય હિરેન ઉપાધ્યાયે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ મશાલ પ્રગટાવીને રમતગમત મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં બલૂન સ્મેશ, બોલ બેલેન્સિંગ, રોલિંગ રેસ, લેમન એન્ડ સ્પૂન, ફ્રોગ રેસ, મ્યુઝિકલ ચેર, બુક બેલેન્સ, પોટેટો રેસ, થ્રી લેગ રેસ, આર્ચીંગ ધ ગેમ, સ્લો સાયક્લિંગ, પેર બોલ બેલેન્સિંગ, સુઈ ધાગા, ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, ચેસ અને કેરમ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના વિશાળ પટાંગણમાં યોજાયો હતો, જ્યાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નોબેલ્સ ઓન વ્હીલ્સ પ્રદર્શનનો 30,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રદર્શન 11 થી 29 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાયું હતું, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મોબાઈલ એક્ઝિબિશન ટ્રક જિલ્લાના 15 વિવિધ ઝોનમાં ફર્યો હતો. તેના દ્વારા વિદ્યાર્થીઓને નોબેલ વિજેતાઓની સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક શોધો વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં થયેલી વિશ્વસ્તરીય શોધોથી માહિતગાર કરવાનો હતો. તેમાં વૈશ્વિક નોબેલ વિજેતાઓ ઉપરાંત ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે તે માટે મોબાઈલ એક્ઝિબિશનનો આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે તેની વિશેષતા હતી. આ પહેલના ભાગરૂપે, વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. પ્રદર્શન બાદ યોજાયેલી પસંદગી પ્રક્રિયા દ્વારા બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ (એક છોકરો અને એક છોકરી) અને એક શિક્ષકની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા આ વિદ્યાર્થીઓ અને શિક્ષકને સ્વીડન સ્થિત નોબેલ પ્રાઈઝ મ્યુઝિયમની મુલાકાત લેવાની તક મળશે. પ્રથમ તબક્કામાં 24,100 વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી, જેમાંથી 1,143 વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શને વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નવો ઉત્સાહ જગાવ્યો છે. ફ્યુચર નોબેલ ઝોન જેવા આકર્ષણો દ્વારા વિદ્યાર્થીઓએ ભવિષ્યની વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે રચનાત્મક વિચારો રજૂ કર્યા હતા. આ પ્રદર્શન બનાસકાંઠાના યુવાધનને વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રેરણા આપવા માટે સફળ રહ્યું છે.
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા આજરોજ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર અને રજાના નાણાંમાં મોટી ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, ભાવનગર જિલ્લાના PHC, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં થઈને અંદાજે 700 થી 750 જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી ફરજ બજાવે છે, જેમના હકનું નાણું જોખમમાં છે ટેન્ડર પ્રક્રિયા કલેક્ટર અને DDO ની અધ્યક્ષતામાં થઈ હોય, ત્યારે કર્મચારીઓને પૂરો પગાર મળે તે જોવાની જવાબદારી તેમની છે. જો સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય તો જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરી તેમને જેલભેગા કરવા જોઈએ. તેમ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ રજૂઆત કરી હતી, રજનીકાંત ભારતીયએ આક્ષેપ કર્યો છે કે એજન્સીઓને થતા ચુકવણામાં જવાબદાર અધિકારીઓની 'કાઉન્ટર સહી' હોય છે. આથી, અધિકારીઓની સાઠગાંઠ વગર આવું મોટું કૌભાંડ શક્ય નથી, રજૂઆત દરમિયાન માંગ કરવામાં આવી છે કે આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને કર્મચારીઓના રજા પગારની જે ચોરી થઈ રહી છે તે તાત્કાલિક બંધ કરાવી, અત્યાર સુધીના બાકી નાણાં અપાવવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આરોગ્ય અધિકારી ચંદ્રમણીએ જણાવ્યું હતું કે,રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર અને હક્ક અંગે ઉઠેલા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે કડક વલણ અપનાવ્યું છે 'અલ્ટ્રા મોર્ડન એજન્સી' દ્વારા કાર્યરત આશરે 400 જેટલા કર્મચારીઓના બાકી લેણાં ચૂકવવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા તમામ નિયમોનું પાલન કરીને GeM પોર્ટલ મારફતે 'અલ્ટ્રા મોર્ડન એજન્સી' ને આઉટસોર્સિંગનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, હાલમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર આશરે 400 જેટલા કર્મચારીઓ આ એજન્સી હેઠળ કાર્યરત છે,સરકાર દ્વારા તાલુકા કક્ષાએ અને CHC ના અધિક્ષક કચેરીઓને પગારની ગણતરી માટે ચોક્કસ એક્સેલ શીટ અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી છે, જે મુજબ જ કામગીરી થાય છે. જોકે, કર્મચારીઓ તરફથી એવી વ્યાપક રજૂઆત મળી હતી કે તેમને 'લીવ ઓન કેશ' નું ચૂકવણું કરવામાં આવતું નથી, આ ગંભીર રજૂઆતને ધ્યાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, કમિટી દ્વારા ટૂંક સમયમાં બેઠક યોજવા માટે તારીખની માંગણી કરવામાં આવી છે, આ બેઠકમાં તમામ પાસાઓની ચકાસણી કરી, કર્મચારીઓના જે કોઈ પણ નાણાં બાકી નીકળતા હશે તેનો આખરી રિપોર્ટ તૈયાર કરાશે, તપાસના અંતે બાકી નીકળતી રકમ ચૂકવવા માટે આઉટસોર્સિંગ એજન્સીને કડક સૂચના આપવામાં આવશે અને તમામ કર્મચારીઓને તેમનો હક્ક મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા માટે મહેસૂલ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, પ્રભારી મંત્રીએ વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેટેશન નિહાળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસને વેગ આપતા માળખાકીય કાર્યોમાં ઝડપ લાવવા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રી મહીડાએ જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ યોજનાકીય અને માળખાકીય કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મહેસૂલી કેસોના નિકાલને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, રી-સર્વેની અરજીઓનો પણ સત્વરે નિકાલ લાવવા તેમણે જણાવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમણે ચાલુ નાણાકીય વર્ષના કામો ઝડપભેર પૂર્ણ થાય અને કોઈ પણ ગ્રાન્ટ વણવપરાયેલી ન રહે તેની તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સીએમ ડેશબોર્ડ અંતર્ગતની કામગીરી, તેના પેરામીટર્સ અને થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે લેન્ડ ગ્રેબિંગ, મહેસૂલી કેસો, રી-સર્વેની કામગીરી, એસ.આઈ.આર.ની કામગીરી, જમીન ફાળવણી અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા નવતર અભિગમો વિશે પ્રભારી મંત્રીને વાકેફ કર્યા હતા. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની કામગીરી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ તકે યોજનાકીય કામો, ફ્લેગશિપ કાર્યક્રમો અને માળખાકીય કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્યો અને અગ્રણી સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લામાં ચાલતા કામો અને સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યો અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
દાહોદ શહેરમાં મિત્રતાને કલંકિત કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદથી સુથારી કામ અર્થે આવેલા એક યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ ગોંધી રાખ્યો હતો. અમદાવાદથી કામ ગયેલા યુવક પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે લોકેશનના આધારે ત્વરિત કાર્યવાહી કરી યુવકને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પીડિતને સુરક્ષિત બચાવી લીધોઘટના અંગે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, પોલીસને મળેલી માહિતીના આધારે ટેક્નિકલ એનાલિસિસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતને ગોંધી રાખી માર માર્યો હોવાનું અને પરિવાર પાસે વીડિયો કોલ મારફતે ખંડણી માગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી પીડિતને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુથારી કામ પુરું કરી અમદાવાદ જવાનો હતોપીડિત શ્યામલાલ રાવે જણાવ્યું હતું કે, તે કામની શોધમાં રાજસ્થાનથી દાહોદ આવ્યો હતો અને અહીં સુથારી તરીકે કામ કરતો હતો. આ દરમિયાન શંકર સાંસી સાથે તેની મિત્રતા થઈ હતી અને પૈસાની લેતી-દેતી પણ થતી હતી. કામ પૂરું થતાં તે અમદાવાદ જવાની તૈયારીમાં હતો, ત્યારે કામ અપાવવાની વાત કહી તેને દાહોદમાં રોકવામાં આવ્યો હતો. બાદમાં બસ સ્ટેશનથી પરત બોલાવી આરોપીઓએ તેને મકાનમાં લઈ જઈ ગોંધી રાખી માર માર્યો અને પરિવાર પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી. પરિવારને લાઈવ લોકેશન મોકલતાં જ પોલીસ આવી પહોંચતાં તેનો જીવ બચી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. વિશ્વાસઘાત અને અત્યાચારની પરાકાષ્ઠામૂળ રાજસ્થાનનો રહેવાસી શ્યામલાલ રાવ દાહોદમાં સુથારી કામ કરી ગુજરાન ચલાવતો હતો. થોડા સમય અગાઉ તેની મુલાકાત શહેરના 3 યુવકો સાથે થઈ હતી. મિત્રતા ગાઢ બનતા તેઓ અવારનવાર સાથે ફરવા જતાં હતા. ગત 1 તારીખે આ ત્રણેય શ્યામલાલને છાપરી ગામ પાસે એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કરી શ્યામલાલને બંધક બનાવી દીધો હતો. આરોપીઓએ યુવકને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો અને શરીરના ભાગે સિગરેટના ડામ આપી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પરિવારને વીડિયો કોલ કરી આપી ધમકીઅત્યાચાર આટલેથી ન અટકતા, આરોપીઓએ શ્યામલાલના મોબાઈલ પરથી તેના પરિવારને વીડિયો કોલ કર્યો હતો. લાઈવ વીડિયોમાં યુવકને માર મારતા બતાવી આરોપીઓએ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં મળે તો યુવકની હત્યા કરી તેની લાશ તળાવમાં ફેંકી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. લોકેશન મળતાં જ પોલીસ એક્શનમાંઆ કપરી પરિસ્થિતિમાં શ્યામલાલે હિંમત દાખવી ખાનગીમાં પોતાનું લાઈવ લોકેશન પરિવારને મોકલી આપ્યું હતું. પરિવારે તાત્કાલિક દાહોદ B-ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મળેલા લોકેશનના આધારે પોલીસે છાપરી ગામના મકાનમાં દરોડો પાડી યુવકને હેમખેમ છોડાવ્યો હતો. આરોપીઓ જેલના સળિયા પાછળપોલીસે સ્થળ પરથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત શ્યામલાલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન રાખવા માટે લાલબત્તી ધરી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે(1 જાન્યુઆરી) સાંજે ખુની ખેલ ખેલાયો છે. સામાન્ય બાબતે લોહીયાળ જંગ ખેલાયો હતો. જમવા જેવી સામાન્ય બાબતે એક માસીયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી દીધી હતી. જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે રામુ કુશ્વાહાનું મોત થયું હતું. જે બાદ બોપલ પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને ભાઈઓ જમવા બેઠા ને ઝઘડો થયોમધ્યપ્રદેશના મોરેનાના વતની રામુ કુશ્વાહા અને વિષ્ણુ કુશ્વાહા નામના બે ભાઈઓ બોપલ વિસ્તારમાં રહેતા હતા. બોપલ વિસ્તારમાં રહીને કલર કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. ગઈકાલે સાંજે બંને ભાઈઓ જમવા માટે બેઠા હતા. તે દરમિયાન જમવા જેવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બે ભાઈઓ વચ્ચે જમવા જેવી નજીવી બાબતે તકરાર થતા ઉગ્ર માહોલ ઉભો થઈ ગયો હતો. છરી વડે ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યોઝઘડા દરમિયાન વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશ્વાહા પર હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કર્યો હોવાથી રામુ કુશ્વાહાનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને આખા ઘરમાં લોહોલોહી થઈ ગયું હતું. માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરતાં ચકચારજે બાદ સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા જ વધારે લોહી વહી જવાથી રામુ કુશ્વાહાનું મોત થયું હતું. જેમાં એક માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કરુણ અંજામ આવ્યો હતો. બોપલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોહત્યાની ઘટના બનતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને પણ ઘટનાના જાણ કરવામાં આવી હતી. જેથી હત્યાની ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિષ્ણુ કુશ્વાહા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપી વિષ્ણુ કુશ્વાહાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બારેજા ખાતે ત્રિ- દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમ:મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીનું 'નાનીબાઈ કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું, ધાર્મિક લોકો જોડાયા હતા. 3 દિવસના કાર્યક્રમ અંગે ગીરીશભાઈ રાઠી - કાર્યકારી અધ્યક્ષ - મહેશ ધામ એ આપી હતી. સાથે જ પૂજ્ય દંડીસ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી, રાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ, જનરલ સેક્રેટરી: ગંગા મહાસભા, વારાણસી ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના અગ્રણીઓએ સંપૂર્ણભાવથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે. પ્રથમ દિવસે માહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી. પ્રથમ દિવસ – શુક્રવાર, 2 જાન્યુઆરી 2026 : કાર્યક્રમના પ્રથમ દિવસે મહેશધામ ખાતે પવિત્ર પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસ (અતિથિ નિવાસ)નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ દિવસે પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવચનકાર જયા કિશોરીના ધાર્મિક પ્રવચન દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંજે ભજન કલાકાર હર્ષ માળી સાથે ભજન સંધ્યાનું આયોજન કરાયું. દ્વિતીય દિવસ – શનિવાર, 3 જાન્યુઆરી 2026- કાર્યક્રમના બીજા દિવસે જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ સાઈરામ દવેનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ સાથે બાબા નંદલાલજીની પણ ઉપસ્થિતિ રહેશે. આ દિવસ દરમ્યાન ધાર્મિક તથા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે. આ દિવસે શિવાજી મહારાજના જીવન પર નાટ્યપ્રસ્તુતિ- ગુરુજી કી પાઠશાળાનું દ્વારા આયોજન કરાશે. તૃતીય દિવસ – રવિવાર, 4 જાન્યુઆરી 2026- ત્રીજા અને અંતિમ દિવસે મમુખ્ય અતિથિઓ દ્વારા ભામાશાઓનું સન્માન પણ કરાશે. આ અવસરે જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ જયા કિશોરીજી ફરી એકવાર પોતાના પ્રેરણાદાયક ધાર્મિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે. ત્રણ દિવસીય આ સમગ્ર કાર્યક્રમ મહેશધામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉદ્દેશોને વધુ મજબૂત બનાવશે. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓના વધારાના ચાર્જને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગો અને સરકારી સંસ્થાઓમાં વહીવટી સંતુલન અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ડૉ. રાજેન્દ્ર કુમારને GSFCનો વધારાનો ચાર્જસરકારના આદેશ મુજબ, ડૉ. રાજેન્દ્ર કુમાર, IAS (2004 બેચ), જે હાલ ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધી આ વધારાનો ચાર્જ સંભાળી રહેલા સંજીવ કુમાર, IASને મુક્ત કરવામાં આવ્યા છે. રાજકુમાર બેનીવાલને આ વિભાગનો વધારાનો ચાર્જતે જ રીતે, રાજકુમાર બેનીવાલ, IAS (2004 બેચ), હાલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC), ભરુચના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમને હવે હાઉસિંગ અને ‘નિર્મળ ગુજરાત’ (અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ)ના સરકારના સચિવ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. બચાણીને અમદાવાદના સિવિલ એવિએશન કમિશનરનો ચાર્જઆ ઉપરાંત કે. એલ. બચાણી, IAS (2010 બેચ), હાલ ગાંધીનગર ખાતે માહિતી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને અમદાવાદના સિવિલ એવિએશન કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પદનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા ડૉ. ધવલકુમાર કિર્તિકુમાર પટેલ, IASને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ અને સિવિલ એવિએશન વિભાગમાં નવી જવાબદારીરાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય માત્ર રુટીન વહીવટી બદલી તરીકે જોવામાં આવતો નથી, પરંતુ મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓની ક્ષમતાનો વધુ અસરકારક ઉપયોગ કરવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ અને સિવિલ એવિએશન જેવા વિકાસલક્ષી અને આવકજનક વિભાગોમાં મજબૂત વહીવટી પકડ જરૂરી હોય છે. અનુભવી IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈખાસ કરીને GSFC અને GNFC જેવી મોટી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યાં અનુભવી IAS અધિકારીઓને જવાબદારી સોંપીને સરકાર દ્વારા પોલિસી અને અમલીકરણ વચ્ચે સંકલન મજબૂત કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. સિવિલ એવિએશન અને અર્બન હાઉસિંગ જેવા ક્ષેત્રો આગામી સમયમાં રાજ્યના વિકાસ એજન્ડાના કેન્દ્રમાં રહેવાના હોવાથી, આ ફેરફારોને વિકાસલક્ષી તૈયારીના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
ગોધરા રેલવે સ્ટેશન ખાતે આવેલી પાર્સલ પોસ્ટ ઓફિસમાં હવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી ગણતરીના કલાકો માટે ઉપલબ્ધ સુવિધાઓ હવેથી 24 કલાક મળી રહેશે, જેનાથી નાગરિકોને મોટી રાહત થશે. અગાઉ આ પોસ્ટ ઓફિસમાં પાર્સલ બુકિંગ સહિતની અન્ય સેવાઓનો સમય સાંજે 6:00 થી 8:00 વાગ્યા સુધી જ મર્યાદિત હતો. જોકે, રેલવે તંત્ર અને પોસ્ટ વિભાગના સહયોગથી આ સુવિધાને હવે 24 કલાક કાર્યરત કરી દેવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે 24 કલાક સ્પીડ પોસ્ટ કરી શકાશે. આ ઉપરાંત, ૨૫થી વધુ આર્ટિકલ કે પાર્સલ હોય તેવા બલ્ક બુકિંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટ ઓફિસને લગતી તમામ પાયાની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ફાયદો થશે, જેઓ રાત્રિના સમયે માલસામાન, ડોક્યુમેન્ટ્સ અને સેમ્પલ્સ સમયની મર્યાદા વગર મોકલી શકશે. ઈમરજન્સીમાં સ્પીડ પોસ્ટ કે પાર્સલ મોકલવા માટે નાગરિકોને હવે કચેરી ખુલવાની રાહ જોવી પડશે નહીં.
રાજ્યના પાટનગરમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિવૃત્ત ઉચ્ચ અધિકારીને પોતાની જાળમાં ફસાવીને આજીવન મૂડી પડાવી લેવાની ઘટનાને અંજામ આપ્યો છે. ગાંધીનગરના સેક્ટર-3 માં રહેતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરીના પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીને ડિજિટલ એરેસ્ટ કરી નકલી 'સુપ્રીમ કોર્ટ' સમક્ષ હાજર કરી સાયબર ગઠીયાઓએ 40 લાખની માતબર રકમ હડપ કરી લીધી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે નોંધવામાં આવી છે. 'TRAIએ તમારા પર એક કેસ કર્યો છે'ગાંધીનગરના સેક્ટર - 3સી શક્તિ ચોક પાસે પ્લોટ નંબર - 635/2માં રહેતા મોહમ્મદ અબુબક્ર મહમદઅલી ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર કચેરી ખાતે ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતાં. ગત 10 નવેમ્બર 2025ના રોજ તેમને કોઈએ ફોન કરીને TRAIમાંથી અરૂણ યાદવ બોલતો હોવાની ઓળખ આપી કહેલ કે, તમે તમારા આધાર કાર્ડ ખોટો ઉપયોગ કર્યો છે. TRAIએ તમારા પર એક કેસ કર્યો છે. જે અંગે 27 ઓક્ટોબર 2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. સાયબર ઠગે ધમકીઓ આપતાં પૂર્વ ભૂસ્તરશાસ્ત્રી ફફડી ઉઠ્યા હતાતમારા આધાર કાર્ડ વાળા મોબાઈલ નંબરથી અલગ-અલગ વ્યકતિ ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ વાતથી પૂર્વ ભૂસ્તરશાસ્ત્રી ફફડી ઉઠ્યા હતા. બાદમાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહી અરૂણ યાદવે ફોન ડાયવર્ટ કરી ઈન્સ્પેકટર સંદીપ રાવ સાથે વાત કરાવી હતી. જેમાં પણ તેમણે પોતે નિર્દોષ હોવાના ખુલાસા કર્યાં હતા. ગોયલ મની લોન્ડરિંગ કેસમાં ખાતાનો ઉપયોગ થયાનો હાઉંજે પછી સંદીપ રાવે વીડિયો કોલ કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીની પૂછતાછ કરી પરિવારની વિગતો મેળવી લીધી હતી. વીડિયો કોલ દરમ્યાન પોલીસ ડ્રેસમાં એક વ્યક્તિ અને મુંબઈ પોલીસનો લોગો જોઈને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ નાના દીકરા સાથે રહેતા હોવાની વાત પણ જણાવી દીધી હતી. બાદમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમના બેંક ખાતાનો ઉપયોગ થયાનો હાઉ ઉભો કર્યો હતો. નિવૃતિ સેવિંગના 40 લાખની વિગત આપતાં જ ઠગે ડોક્યુમેન્ટ માંગ્યાજેથી કરીને પૂર્વ ભૂસ્તર શાસ્ત્રીએ પોતાના બેંક એકાઉન્ટમાં પડેલી રકમની સાથે નિવૃતિ સેવિંગના 40 લાખ આઇસીઆઈસીઆઈ ડીરેકટના ડિમેટ એકાઉન્ટ પડ્યા હોવાની પણ વિગતો આપી દીધી હતી. બાદમાં તેમની વાત એડીશનલ ડાયરેક્ટર કરણ શર્મા નામની વ્યક્તિ સાથે કરાવી હતી. જેણે પણ તેમની પૂછતાછ કરી હતી. બાદ નકલી ઈન્સ્પેકટર સંદીપ રાવે કોર્ટમાં રજૂ થવા માટે એફિડેવીટ લખાવી આધારા કાર્ડ, પાનકાર્ડ તથા પાસપોર્ટ સાઇજનો ફોટો સહી સાથે મેળવી લીધો હતો. I am safe, I am here, Nation secret is safeત્યારબાદ તેણે રાત્રે ફોન ચાલું રાખી સુઈ જવાનુ અને દેશની સુરક્ષાને ધ્યાને લઈ આ બાબતે કોઈને જાણ નહીં કરવાની ગર્ભિત ધમકી આપી હતી.અને જયાં સુધી સુવો તે સમય બાદ કરતા દર બે કલાકે વોટ્સએપમાં રીપોટીંગ ટુ ઇન્સ્પેકટર સંદિપ રાવ, I am safe, I am here, Nation secret is safe જેવા મેસેજ કરવા મજબૂર કર્યા હતા. વીડિયો કૉલથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતાત્યારબાદ 11 નવેમ્બર 2025ના રોજ સવારના વોટ્સએપમાં આગળની વધુ તપાસ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થવા માટે તૈયાર રહેવા મેસેજ આવ્યો હતો. એટલે પૂર્વ ભૂસ્તર શાસ્ત્રી વીડિયો કૉલથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટમાં જ્જ , વકીલ, પોલીસ તથા એક આરોપી બતાવી કોર્ટની પ્રોસીજર પુર્ણ કરાવી હતી. ડિમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કર્યુંજેની થોડીવારમાં તેમને કહેવાયું હતું કે, સુપ્રિમ કોર્ટનો આદેશ હોવાથી તમારા ડીમેટના એકાઉન્ટના તમામ રૂપિયા ઇન્કવાયરી અર્થે સુપ્રિમ કોર્ટમાં જમા કરાવવાના છે. અને ICICI ડાયરેક્ટ ડિમેટ એકાઉન્ટનો યુઝર આઈડી, પાસવર્ડ અને ઓટીપી મેળવી લીધો હતો. જેના થકી ડિમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરી નાખ્યું હતું. વોટ્સએપથી સ્કિન શેરીંગ કરીને 40 લાખ પડાવી લીધાજ્યારે શેર વેચાણથી આવેલી રકમ રૂ. 28,00,000 અને મ્યુચ્યુઅલ ફંડના રૂ. 11,00,000 એમ મળી કુલ રૂ. 39,99,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં આરટીજીએસ અને યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. બાદમાં ઇન્સ્પેકટર સંદિપ રાવે વોટ્સએપથી સ્કિન શેરીંગ કરી બન્ને વચ્ચેની તમામ ચેટ ડિલીટ મારી દીધી હતી. આખરે છેતરાયા હોવાની જાણ થતા પૂર્વ ભૂસ્તરશાસ્ત્રીએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતી માટે આગોતરું આયોજન કર્યું છે. પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વીજ પોલ તેમજ ભોલાવ વિસ્તારના ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સુરક્ષા પગલાંનો મુખ્ય હેતુ પતંગની દોરીને કારણે થતી જાનહાનિ અને ઇજાઓને અટકાવવાનો છે. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી પક્ષીઓ તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે જીવલેણ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ ભૃગુઋષિ બ્રિજ ઉપર પતંગની દોરીથી એક દ્વિચક્રી વાહન પર જઈ રહેલી બાળકી સાથેની મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં મહિલાનું મોત થયું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી હતી. આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા આ વર્ષે વિશેષ સાવચેતી રાખી રહી છે. ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ પહેલા શહેરમાં આવેલા વિવિધ થાંભલાઓ અને ભૃગુઋષિ બ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવ્યા છે, જેથી પતંગની દોરીથી કોઈ વાહનચાલકને ઇજા ન થાય. તેમણે દ્વિચક્રી વાહનચાલકોને પોતાની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા તેમજ ગળામાં મફલર કે રૂમાલ બાંધવા અપીલ કરી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીના કારણે શહેરના વાહનચાલકોમાં પણ સુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે, જે ઉત્તરાયણ જેવા શુભ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.
બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે હવે કોળી યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે આ વીડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને માર્યા તે પહેલાંનો વીડિયો હોવાનું પણ જણાવાયું છે. તો હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોળી નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું છે કે બે જગ્યા શંકાના દાયરામાં આવે છે. એક તો માયાભાઈને માફી માંગવી પડી એનાથી નારાજ થઈને એમના દીકરાએ કરાવ્યું છે કે પછી કોઈ ટ્રસ્ટી મંડળે કરાવ્યું છે. આ તપાસના અંતે જ બહાર આવશે. સંચાલક મંડળમાં સ્થાનને લઈને તો ઘટના નહીં બની હોય ને: ઋત્વિક મકવાણાબગદાણામાં કોળી યુવક પર જીવલેણ હુમલાના કેસ મુદ્દે ભાસ્કરે ઋત્વિક મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બગદાણામાં સેવકોના જે 1500 જેટલા મંડળો ચાલે છે, તેમાં 70-80 ટકા મંડળો કોળી સમાજના છે. તો આ લોકોની એક માગ હતી કે અમે માત્ર સેવા કરવા જ આવીએ છીએ તો તેમના સંચાલક મંડળ અને નિયામક મંડળમાં પણ તેમણે સ્થાન મળવું જોઈએ અને તેના અનુસંધાને આ ઘટના બની હોય તોય ના નથી. ‘હીરાભાઈ જ નેતૃત્વ લે’મુદ્દાને રાજ્કીય બનાવવાની જગ્યાએ સામાજિક બનાવવો જોઈએ અને હીરાભાઈ જ આનું નેતૃત્વ લે કારણ કે હીરાભાઈ જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે છે. તો અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ જ લડે તેવી ત્યાંના લોકોની લાગણી છે. ‘સામાજિક મુદ્દે અમે હીરાભાઈ સાથે’ સામાજિક મુદ્દે અખિલ ભારતીય કોળી સમાજ લડતું હોય તો અમે હીરાભાઈ સાથે, પણ જો ભાજપના ધારાસભ્ય તરીકે હીરાભાઈ લડતા હોય તો અમારું સ્ટેન્ડ પોલિટીકલ છે. ‘વીડિયો બનાવવા સુધીની હિંમત કોને આપી’હુમલાખોરોને પકડ્યા તો છે પણ એ વીડિયો કોલ કરીને કોને દેખાડતા હતા, શા માટે વીડિયો બનાવ્યા,વીડિયો કોને મોકલ્યો છે, વીડિયો બનાવવા સુધીની હિંમત કોને આપી, તેનું બેકસાઇડ કોણ છે એ બહાર આવવું જોઇએ, કારણ કે નાના માણસ તો નહીં હોય ને. ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ (ગુંડાઓ)નું ચાલે છે: ચાવડાબગદાણાના સરપંચ પર કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ X પર પોસ્ટ કરી કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ‘સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, આરોપીને બક્ષવામાં નહીં આવે’અમિત ચાવડાની X પોસ્ટ પર ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, ગુનો કરનાર આરોપીને બક્ષવામાં આવતા નથી. નો પોલિટિકલ પ્રોટેક્શન, ઓન્લી પ્રોશિકયુશનના નેમ સાથે સરકાર કામગીરી કરી રહી છે બગદાણાની ઘટના વ્યક્તિગત છે, સામસામે FIR થઈ કોંગ્રેસની રાજનીતિ ફક્ત આક્ષેપો પર નભેલી છે. બગદાણાની ઘટના વ્યક્તિગત છે જેમાં સામસામે FIR થઈ છે. સંબંધિત ઘટનામાં જે કોઈ ગુનેગાર હશે, ગુનો થયો હશે તો અંતિમ સજા થશે. ફરિયાદમાં BNS કલમ 109નો ઉમેરો કર્યોઆ કેસમાં બનાવના મુખ્ય 4 આરોપી નાજુભાઈ કામડિયા, રાજુભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને અન્ય આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા. રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. રિમાન્ડ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ બનાવની ફરિયાદમાં BNS કલમ 109નો ઉમેરો કર્યો છે. પોલીસ નવનીતભાઈનું આજે ફરીથી વિશેષ નિવેદન લેશેપ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ ભોગબનનાર નવનીતભાઈનું આજે ફરીથી વિશેષ નિવેદન લેશે. તે નિવેદનના આધારે પોલીસ સઘન તપાસ કરશે અને ઝડપાયેલા તમામ આરોપીના મોબાઈલના સીડીઆર મંગાવવામાં આવ્યા છે અને CCTV ચેક કરવામાં આવશે. આગામી 2 દિવસમાં તમામના મોબાઈલ વધુ તપાસ અર્થે એફએસલમાં મોકલવવામાં આવશે. માયાભાઈના પુત્ર પરના આક્ષેપ પર તપાસભોગબનનાર નવનીતભાઈ દ્વારા માયાભાઈના પુત્ર જયરાજ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. સાથે બનાવ બન્યો ત્યારે જે મોબાઈલમાં વીડિયો ઉતારવવામાં આવ્યો હતો તે કોના મોબાઈલમાં ઉતારવવામાં આવ્યો હતો અને ત્યારે કોની સાથે વાત થઈ હતી તે અંગે તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: હીરા સોલંકી બોલ્યા- કોઈ ચાળો ન કરે એવું કરીશું, બાલધિયાએ કહ્યું- આ માયાભાઈ આહીરના પુત્ર જયરાજનું ષડયંત્ર
રંગીલા રાજકોટવાસીઓ નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુમાંથી કમાણી કરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત શહેરને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે ઇ-વહીકલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માત્ર 1 ફોન કરીને તેના જુના ઇલેક્ટ્રોનિક સાધનોનો ઘરેબેઠા નિકાલ કરી શકશે. એટલું જ નહીં આ નકામી વસ્તુઓનાં રૂ. 2,000 સુધીની રકમ મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે. આમ લોકોને નકામી વસ્તુઓમાંથી કમાણી કરવાનો મોકો મળશે. પ્રાપ્ત વિગત મુજબ લોકોના ઘરોમાં પડી રહેલા જૂના અને બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક સાધનો, જેને આપણે 'ઇ-વેસ્ટ' કહીએ છીએ, તેના યોગ્ય નિકાલ માટે મનપાએ ખાસ ઇ-વ્હીકલ સેવાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે કે નાગરિકોએ ભંગાર આપવા ક્યાંય જવાની જરૂર નથી, પરંતુ માત્ર એક ફોન કરવાથી મહાપાલિકાની ગાડી ઘરે આવી જશે. આ વ્યવસ્થાથી રાજકોટના રહેવાસીઓને હવે બિનઉપયોગી સાધનોના નિકાલની ચિંતામાંથી મુક્તિ મળશે અને સાથે પર્યાવરણ સુરક્ષામાં સહભાગી થવાનો અવસર પણ પ્રાપ્ત થશે. આ યોજના હેઠળ નાગરિકોને તેમના જૂના ઇલેક્ટ્રોનિક સાધનોના બદલામાં આકર્ષક આર્થિક વળતર આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે જૂનું એર કન્ડિશનર (AC) હોય તો તેના રૂ. 2000 ચૂકવવામાં આવશે. તેવી જ રીતે જૂના લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, વોશિંગ મશીન અને ફ્રીજના નિકાલ પર રૂ. 500 વળતર તરીકે મળશે. આ સિવાય જો તમારી પાસે બિનઉપયોગી મોબાઈલ ફોન હોય તો તેના રૂ. 200 અને વાયર સહિતની અન્ય તમામ નાની-મોટી નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે પ્રતિકીલો રૂ. 15 લેખે રકમ ચૂકવવામાં આવશે. આમ, જે કચરો અત્યાર સુધી ખૂણામાં પડ્યો રહેતો હતો, તે હવે નાગરિકો માટે કમાણીનું સાધન બનશે. રાજકોટ મહાપાલિકાએ આ કાર્ય માટે ECS (E-Waste Collection Services) નામની અધિકૃત એજન્સી સાથે ખાસ ભાગીદારી કરી છે. આ અભિયાનનો પ્રારંભ તા. 02-01-2026ના રોજ વોર્ડ નં. 13માંથી કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રથમ દિવસે જ ખૂબ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે 6 કિલો જેટલો ઇ-વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. આ સેવાનો લાભ લેવા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઈલ નંબર 89800 04000 પર સંપર્ક કરીને પોતાના ઘરે ઇ-વેસ્ટ પિકઅપ માટે બુકિંગ કરાવી શકે છે, જેનાથી ફ્રી ડોર-ટુ-ડોર સેવાનો લાભ મળશે. ઇલેક્ટ્રોનિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. સામાન્ય રીતે લોકો ઇ-વેસ્ટને કચરાપેટીમાં કે અન્યત્ર ફેંકી દેતા હોય છે, જેના કારણે તેમાં રહેલા ઝેરી તત્વો જમીન, પાણી અને હવામાં ભળીને ગંભીર પ્રદૂષણ ફેલાવે છે. આ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. ECS જેવી એજન્સી દ્વારા આ કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયક્લિંગ કરવામાં આવશે, જેનાથી કુદરતી સંસાધનોનો પુનઃઉપયોગ શક્ય બનશે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાશે. આ પગલાથી રાજકોટ શહેર 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત નવી ઊંચાઈઓ સર કરશે તેવું માનવામાં આવે છે. મહાનગરપાલિકાના મેયર અને અન્ય પદાધિકારીઓએ રાજકોટના તમામ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા ખાસ અપીલ કરી છે. મનપા દ્વારા શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર આ ઇ-વ્હીકલ ફેરવવામાં આવશે જેથી દરેક નાગરિક પોતાના ઘરનો ઇ-કચરો જવાબદારીપૂર્વક નિકાલ કરી શકે. આ યોજના માત્ર આર્થિક લાભ માટે નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવાના સંકલ્પને સાકાર કરવાની તક છે. લોકોમાં જાગૃતિ આવે અને તેઓ આ પ્રક્રિયામાં જોડાય તો આગામી દિવસોમાં રાજકોટ ઇ-વેસ્ટ મુક્ત શહેર બની શકે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં રોજગાર સર્જનના પ્રયાસોને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, 2 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિમણૂકપત્ર વિતરણ સમારોહ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.ટી. નિગમમાં પસંદ થયેલા કુલ 4,742 ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવશે. STના 4,742 ઉમેદવારોને નિમણૂકપત્ર આપશેઆ સમારોહમાં એસ.ટી. નિગમના 3,084 ડ્રાઈવર તથા 1,658 હેલ્પર પદો માટે પસંદ થયેલા ઉમેદવારોને અધિકૃત રીતે સેવાકાર્યમાં જોડાવાનો અવસર મળશે. રાજ્ય સરકારની પારદર્શક અને મેરિટ આધારિત ભરતી પ્રક્રિયાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.
હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, એસી/એસટી DYSP કુલદીપ નાયી અને ગોપાલસિંહ રાઠોડ સહિતના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ દર વર્ષે ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ યોજાતો હતો. દેશમાં માર્ગોના વિકાસ સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક એજ્યુકેશન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવનમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો એક કાર્યક્રમ યોજાયો હતો.
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા 29મી ડિસેમ્બરે કિચન ગાર્ડનિંગ અને હોમ કોમ્પોસ્ટિંગ વિષયક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત ડૉ. આમી ત્રિવેદી (વ્યવસાયે પેથોલોજિસ્ટ)એ ઘરેથી નીકળતા સુકા પાંદડા તથા રસોડાના કચરાનો ઉપયોગ કરીને સરળ રીતે કોમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ સમજાવી. તેમણે ઓર્ગેનિક જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ઘરેલું કચરાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું. સત્રના અંતે ડૉ. આમી ત્રિવેદી દ્વારા ઉપસ્થિત તમામ સભ્યોને વાવેતર માટેના બીજોના પેકેટો પણ વિતરણ કરવામાં આવ્યા, જેથી સૌ પોતે ઘરે કિચન ગાર્ડન શરૂ કરવા પ્રોત્સાહિત થાય. આ કાર્યક્રમમાં ડૉ. ભરતભાઈ પટેલ (વ્યવસાયે સર્જન) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઔષધીય છોડનું મહત્વ સમજાવ્યું તેમજ ઘરે સરળતાથી માઇક્રોગ્રીન્સ કેવી રીતે ઉગાડવા અને તેના આરોગ્યલાભ વિશે વિસ્તૃત માહિતી આપી. આ સત્રમાં ક્લબના પ્રેસિડેન્ટ નમ્રિતા ચઢા, સેક્રેટરી સુનિતા શાહ સહિત 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 31 ડિસેમ્બરે રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે લગભગ 200 વિદ્યાર્થિનીઓ માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ (ભાવનાત્મક બુદ્ધિ) વિષયક એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો હેતુ યુવતીઓને તેમની ભાવનાઓને સમજવા, સંયમમાં રાખવા અને વ્યક્તિગત તેમજ શૈક્ષણિક વિકાસ માટે સકારાત્મક રીતે ઉપયોગ કરવાની માર્ગદર્શન આપવાનો હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ચાર્મી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઇન્ટરનેશનલ કરિયર કાઉન્સેલર, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચ, પ્રેરણાત્મક વક્તા, ફિટનેસ એડવાઇઝર અને ડાન્સ માસ્ટર તરીકે જાણીતા છે. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાની ભાવનાઓ ઓળખવા અને આત્મજાગૃતિ વિકસાવવાની સમજ આપી. સાથે જ સહાનુભૂતિ, અસરકારક સંવાદ અને ભાવનાત્મક સંતુલનના મહત્વ પર ભાર મૂક્યો, જેથી તણાવ, મિત્રતા અને પરીક્ષાના દબાણને શાંતિ અને સ્પષ્ટતા સાથે સંભાળી શકાય. વ્યવહારુ અભ્યાસના ભાગરૂપે એક લાફ્ટર સેશન (હાસ્ય સત્ર) પણ યોજવામાં આવ્યું, જેના કારણે આનંદમય અને ઉર્જાભર્યું વાતાવરણ સર્જાયું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને હાસ્ય દ્વારા તણાવ ઘટાડવામાં તથા માનસિક સુખાકારી વધારવામાં થતી મદદનો અનુભવ કર્યો.
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દધિચી બ્રિજ પર આજે 19 વર્ષીય યુવકે જિંદગીથી કંટાળીને સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એકાએક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં કૂદકો મારતા આસપાસના લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા અને તુરંત જ તેને બચાવવા માટે એકત્રિત થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી અને રેસ્ક્યુ બોટ આવે ત્યાં સુધી બ્રિજ પરથી દોરડુ ફેંકી યુવકને તરતો રાખી જીવ બચાવ્યો હતો. 19 વર્ષીય યુવકે એકાએક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં ઝંપલાવ્યુંમળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ભીમજીપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક આજે બપોરના સમયે શહેરના વાડજ વિસ્તારમાં આવેલા દધીચિ બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અચાનક જ બ્રિજની રેલિંગ પાર કરીને નદીમાં કૂદકો મારી દીધો હતો. આ ઘટના નજરે જોતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા. યુવકને બચાવવા માટે થઈને લોકોએ સૌથી પહેલા રેલિંગ ઉપર ચડીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તે નદીમાં કૂદી ગયો. એક રિક્ષાચાલક પાસે દોરી હતી. જે દોરી નીચે નદીમાં નાખી હતી અને તેને પકડી રાખવા કહ્યું હતું જેથી તેણે પકડી રાખી હતી. જિંદગીથી કંટાળી ગયો હોવાથી આપઘાતનું પગલું ભર્યુંસ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, જેથી સાબરમતી નદીમાં રેસ્ક્યુ માટેની ફાયરની બોટ રવાના થઈ હતી અને ત્યાં પહોંચી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તેને બચાવી લેવાયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ યુવક ભીમજીપુરામાં રહે છે અને જિંદગીથી કંટાળી ગયો હોવાના કારણે થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગોધરામાં 4 જાન્યુઆરીએ રક્તદાન કેમ્પ:જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરી
ગોધરા શહેરમાં 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે નાગરિકોને આ સેવાકીય કાર્યમાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રક્તદાન એ મહાદાન છે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીનો જીવ બચાવી શકે છે. ડૉ. દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેકની નૈતિક ફરજ છે. તેમણે કહ્યું કે, રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. તેમણે ગોધરાના નાગરિકોને 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં યોગદાન આપવા નમ્ર અપીલ કરી હતી.
મોડાસા PTC કોલેજમાં ધનગીરી બાપુનું પ્રેરક ઉદબોધન:શિક્ષક સંગોષ્ઠીમાં જીવન જીવવાની કળા અને ફરજો પર ભાર
મોડાસાની લાટીવાળા પીટીસી કોલેજમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે શિક્ષક સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને અધ્યક્ષ સુભાષભાઈ શાહે વિદ્યાર્થીઓને સંનિષ્ઠ શિક્ષક દેશને વિકાસ તરફ લઈ જઈ શકે તેવી શીખ આપી હતી. દીપ પ્રાગટ્ય દ્વારા સંગોષ્ઠીનો પ્રારંભ થયો હતો. કોલેજના પ્રભારી મંત્રી અને મંડળના માનદ મંત્રી જયેશભાઈ દોશીએ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોની અગત્યતા સમજાવી હતી. મુખ્ય વક્તા તરીકે દેવરાજ ધામના સંત ધનગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ધનગીરી બાપુએ પોતાના આગવા તળપદી શૈલીમાં સનાતન ધર્મ, શિક્ષકની ફરજો અને કર્તવ્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વ્યસની શિક્ષક ક્યારેય વિદ્યાર્થીઓનું ઘડતર કરી શકતો નથી. બાપુએ પરિશ્રમ, આત્મવિશ્વાસ, શ્રવણ શક્તિ અને કથન શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. વર્ગખંડ ઉપરાંત સમાજમાં શિક્ષક કેવી રીતે કુટુંબમાં શાંતિ અને સમાજ સુધારણાનું કામ કરી શકે તેની વિસ્તૃત સમજ તેમણે આપી હતી. ગંભીર વાતોની સાથે સાથે હાસ્ય ઉપજાવી તેમણે હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંતોષ દેવકરે સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું. કુમારી તન્વી દેવડાએ આભાર વ્યક્ત કર્યો, જ્યારે કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ કુ. બંસી અને કુ. માધવી દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા એક જૂના મકાનનો પહેલા માળનો પેસેજ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં મકાનના પહેલા માળે મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ ફસાયા હતા. સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના શ્રવણ ટોકીઝ રોડ પર આવેલા વર્ષો જૂના મકાનમાં બની હતી. પેસેજ ધરાશાયી થતાં મોટો અવાજ આવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાંચ વ્યક્તિઓ અચાનક ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક મદદની જરૂર હતી. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ઝડપી અને સુઆયોજિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ ફસાયેલા તમામ પાંચ વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ ઘટનાના પગલે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર ફાઈટર ટીમે મકાનમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ પણ પરિવારજનોને પરત સોંપી હતી. તમામ વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ટ્રાફિક સલામતી સપ્તાહ શરૂ:બનાસકાંઠામાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે
સમગ્ર ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. આ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરીથી ટ્રાફિક સલામતી સપ્તાહની રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને નિયમોથી અવગત કરાવવાનો છે. આ જાગૃતિ અભિયાન એક મહિના સુધી ચાલશે, જેમાં જિલ્લા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાહનચાલકો સીટ બેલ્ટ બાંધે, હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવે અને ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરે તે અંગે ભાર મૂકવામાં આવશે. ટ્રાફિક પી.આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે આ જાગૃતિ કાર્યક્રમો એક મહિના સુધી અલગ અલગ તાલુકા મથકે, શાળાઓમાં અને કચેરીઓમાં યોજાશે.
પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનો અને તેનાથી ગ્રામીણ રસ્તાઓને થતા નુકસાન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ રેતીના વાહનો અને ટર્બા ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બાલીસણા ગામના જાગૃત નાગરિક પ્રજ્ઞેશ પટેલે આ મુદ્દે લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રેતી ભરેલા વાહનો નિયત મર્યાદા કરતાં વધુ વજન ભરીને બેફામ ગતિએ દોડે છે. આ વાહનો દ્વારા વગાડવામાં આવતા મોટા અવાજના હોર્નથી ગ્રામજનો અને રાહદારીઓમાં ભયનો માહોલ પેદા થાય છે. ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનેલા ગ્રામીણ રસ્તાઓ ઓવરલોડ વાહનોના સતત પસાર થવાને કારણે ટૂંકા સમયમાં જ તૂટી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમણે ઓવરલોડ વાહનો પર અંકુશ લાવવા અને નિયમ ભંગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરમારે ગ્રામીણ અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓને થતા નુકસાન અંગે તંત્ર દ્વારા તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયે આ રજૂઆતને ગંભીરતાથી લીધી છે અને સચિવાલયના સંબંધિત વિભાગોને સક્રિય કર્યા છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને પત્ર પાઠવી નિયમોનુસાર જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ આદેશમાં ખાસ કરીને ઓવરલોડિંગ રોકવા, રસ્તાઓની જાળવણી કરવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને જપ્ત કરવા જેવી કામગીરી કરવા જણાવાયું છે. આગામી દિવસોમાં પાટણ જિલ્લાના ખાણ-ખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારના યુવક આકાશ સોનવણેનું જૂની અદાવતને કારણે રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ વાઘોડિયા રોડ પર લઈ જઈને પાઇપ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ હતા, જેમણે આકાશને અપહરણ કરી ઢોર માર માર્યો હતો. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને આજે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ફરિયાદી આકાશ સોનવણેએ જણાવ્યું હતું કે, જ્યારે હું બહાર ઉભો હતો ત્યારે એક અજાણ્યા છોકરાએ આવીને તેને સાથે ચાલવા કહ્યું હતું. જ્યારે મેં તેની ઓળખ પૂછી હતી, ત્યારે બીજો એક છોકરો આવ્યો અને બંને મને પરાણે ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન ત્રણ-ચાર લોકો ભેગા થઈ ગયા અને મેં જ્યારે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેને પાઇપના ફટકા માર્યા હતા. લોકોના ટોળાને ગેરમાર્ગે દોરવા માટે હુમલાખોરોએ એમ કહ્યું કે આ તો 'ઘરનો મામલો' છે, જેથી કોઈ મારી મદદે આવ્યું નહોતું ત્યારબાદ તેને ખેંચીને ગંગાસાગર ચાર રસ્તા સુધી લઈ જવામાં આવ્યો હતો અને રિક્ષામાં બેસાડીને હાઈવે તરફ લઈ ગયા હતા. ત્યાં એક જંગલ જેવા વિસ્તારમાં આવેલા રૂમમાં તેને પાઇપ અને ઇંટો વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ હું માંડ-માંડ હાઈવે સુધી પહોંચ્યો હતો અને મેં કોઈનો ફોન માંગીને મારા મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્રની મદદથી હું મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તેણે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોરોમાં પ્રિન્સ ચૌહાણ નામનો વ્યક્તિ સામેલ હતો, જે સોમા તળાવ વિસ્તારનો રહેવાસી છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકંભરી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રખ્યાત જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા માતાજીને આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. 620 ગ્રામ સોનું અને રત્નોથી મઢેલો મુગટપોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય દિવસ નજીક છે, ત્યારે શાકંભરી નવરાત્રીના આઠમા દિવસે એટલે કે 2 જાન્યુઆરીના રોજ આ વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી. આ મુકુટ અંદાજે 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મુકુટમાં અનેક પ્રકારના કિંમતી હીરા અને રત્નો જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. રત્નો અને સોના સાથે આ મુકુટની અંદાજિત કિંમત 43.51 લાખ રૂપિયા છે. કલેકટર સહિત મહાનુભાવોની હાજરીમાં માતાજીને મુગટ અર્પણ આ સુવર્ણ મુકુટ અર્પણ વિધિ સમયે જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં અંબાજી મંદિરના ચેરમેન, જિલ્લા એસપી (SP), જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મંદિરના વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જય ભોલે ગ્રુપે અગાઉ પણ સોનાની વસ્તુઓ માતાજીને ભેટ ધરીજય ભોલે ગ્રુપના દીપેશ પટેલે જણાવ્યું હતું કે, પોષી પૂનમ અને માં અંબાના પ્રાગટ્ય પર્વના શુભ અવસરે માતાજીની સેવા કરવાનો આ એક લ્હાવો છે. નોંધનીય છે કે આ ગ્રુપ દ્વારા અગાઉ પણ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના ભાગરૂપે મંદિરમાં સોનાની વસ્તુઓ સુવર્ણ પાદુકા, સોનાનું ચામર અને સોનાના કુંડળની ભેટ આપવામાં આવી છે.આ પણ વાંચો : અંબાજી મંદિરમાં નવા વર્ષથી મોટો ફેરફાર:શિખર પર હવે 52 ગજને બદલે માત્ર 5 મીટરની જ ધજા ફરકશે પ્રાગટ્ય દિવસ માતાજીની નગરયાત્રા પોષ સુદ પૂનમ એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે શાકંભરી નવરાત્રીનો પૂર્ણાહુતિનો દિવસ પણ હોય છે. આ પવિત્ર અવસર પહેલા માતાજીના શૃંગારમાં આ નવા સુવર્ણ મુકુટનો ઉમેરો થતા ભક્તોમાં પણ ભારે આનંદની લહેર જોવા મળી રહી છે. 3 જાન્યુઆરીએ પોષી પૂનમના દિવસે સવારે 10 શક્તિદ્વારા પર માતાજીની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીના ચલ સ્વરૂપને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવશે અને માતાજી નગરચર્યાએ નીકળશે. માતાજીની આ નગરયાત્રામાં 40 જેટલા ટેબલો-ઝાંખીઓ રહેશે. આખું અંબાજી કાલે માતાજીની ભક્તિમાં લીન થશે અને ઠેર ઠેર માતાજીનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર નગરયાત્રા દરમિયાન મંદિર ટ્રસ્ટ તરફથી 2100 કિલો સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવસે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર-જામવાળા રોડના વાઇડનિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને વાહનવ્યવહારને વધુ સરળ બનાવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જામવાળા ગામતળમાં 07 મીટર પહોળાઈમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઘાંટવડથી જામવાળા વચ્ચેના માર્ગને પણ પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
બોટાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને બોટાદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીનું પ્રસ્થાન મહિલા કોલેજ ખાતેથી થયું હતું અને તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મહિલા કોલેજ ખાતે પરત ફરી સમાપ્ત થઈ હતી. આ રેલીમાં કોલેજના શિક્ષકો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રેલીમાં ડી.જે., બે બળદગાડી અને બે ટ્રેક્ટર સહિતના વાહનો જોડાયા હતા. આ રેલી દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન, કાર્ય અને રાષ્ટ્ર માટેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સરદાર પટેલના વિચારો અને દેશભક્તિના સંદેશાઓ દર્શાવતા બેનરો તથા સૂત્રોચ્ચારથી શહેરમાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે, સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી બોટાદ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના દિનેશભાઈ ભુવાએ આપી હતી.
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ,આરોપી અલ્તાફહુસેને તેની પરણિત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું.આ ઘટનાથી પીડિત બાળકી પર ગંભીર અસર થઈ હતી. પીડિત બાળકી લાંબા સમય સુધી ભય હેઠળ જીવતી રહી હતી. આખરે તેણે હિંમત કરીને આ સમગ્ર ઘટના તેની ફોઈને જણાવી હતી. ત્યારબાદ 24 માર્ચ, 2019ના રોજ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી. જોકે, ટ્રાયલ દરમિયાન પૂરતા અને નક્કર પુરાવાના અભાવે કોર્ટે માતાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી હતી. સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પી.બી. પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. પીડિતાની જુબાની, તબીબી અહેવાલો અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો. આખરે, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ મંજૂરી માટે જારી કરાયેલા પત્રો અને પરિપત્રો સર્વાનુમતે રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની જૂની પદ્ધતિ ફરીથી અમલમાં આવશે. બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગેરકાયદે બાંધકામ મંજૂરી આપનાર સરપંચો સામે કાર્યવાહી કરવાની ટકોર કરી હતી. આજરોજ મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરા ટમારીયા, ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અગાઉ મળેલી વિવિધ કમિટીઓની અને સામાન્ય બેઠકોની કામગીરીને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ અંગે જારી કરાયેલા ત્રણેય પત્રો અને પરિપત્રોને સર્વાનુમતે રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઠરાવ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉની જેમ જ બાંધકામ મંજૂરી આપવાની પદ્ધતિ પુનઃસ્થાપિત કરાશે. વર્તમાન ડીડીઓ દ્વારા આ અંગેનો જરૂરી પરિપત્ર વહેલી તકે જારી કરવામાં આવશે તેમ નક્કી કરાયું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવા પત્રો કે પરિપત્રોનું ઘણા વર્ષોથી ક્યાંય અમલીકરણ થતું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે તત્કાલીન ડીડીઓ દ્વારા આવા પરિપત્રો જારી કરાયા ત્યારે વર્તમાન બોડી શું કરી રહી હતી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મોરબી જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી આપવામાં આવી હોય તો તે સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ અંગેની નોંધ નવા પરિપત્રમાં કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિકાસ કામોના જે એજન્ડા હતા તે એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી પેરામિલ્ટ્રી ફોર્સમાં ફરજ બજાવતા કોઈપણ યુવક યુવતી જો ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત મારફતે બે લાખ તથા જિલ્લા પંચાયતના કર્મચારી ફરજ દરમિયાન અવસાન થાય તો બે લાખ રૂપિયા આપવા માટેનો સર્વનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
આયુષ્માન આરોગ્ય મંદિરનું સ્થળ નિરીક્ષણ:સીડીએચઓએ ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલે બુધવારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ફિલ્ડ વિઝીટ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આયુષ્માન આરોગ્ય મંદિરની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, બાજુમાં નવનિર્મિત થનારા નવા મકાનની જગ્યાનું પણ નિરીક્ષણ કરી તાલુકા હેલ્થ ઓફિસર અલકેશ સોહેલ સાથે ચર્ચા કરી હતી. ડો. પટેલે ગામમાં છ દિવસ અગાઉ જન્મેલા એક ઓછા વજનવાળા બાળકના માતા-પિતાને સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર પાસે બાળકના આરોગ્યની ચકાસણી કરાવવા સમજાવ્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં આવેલી સગર્ભા તેમજ અન્ય મહિલાઓને તેમણે આરોગ્યની જાળવણી માટે નિયમિત તપાસ કરાવવા જણાવ્યું હતું. સાથે જ, વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. નવીન આયુષ્માન આરોગ્ય મંદિર જ્યાં બનવાનું છે, તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ડો. પટેલે ઝડપથી કામ શરૂ થાય તે માટે સંબંધિત કક્ષાએ ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત સમયે ગામના સીએચઓ મમતાબેન, આરોગ્ય કાર્યકર સરોજબેન, મહેશ પ્રજાપતિ અને આશા કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારની પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરને 100 ઇ-બસો ફાળવવામાં આવી છે, જે પૈકી 40 બસો ભાવનગર આવી પહોંચી છે. આગામી કમુરતા પૂર્ણ થયેથી મનપા દ્વારા શહેરમાં આ ઇ-બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં આવેલી તમામ ઇ-બસોની પાર્સિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી પૂર્ણ કર્યા બાદ ત્વરિત રૂટ શરૂ કરવા કવાયત ચાલી રહી છે. ત્યારે મનપાના મેયર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સિટીબસ સેવાના લોકાર્પણ કાર્યક્રમ અંગે આમંત્રણ પાઠવવમાં આવ્યું છે. ભાવનગરને 100 ઇ-બસો ફાળવવામાં આવીએક સમયે ભાવનગર શહેરના તમામ રૂટ પર સિટી બસો દોડતી હતી. ત્યારબાદ ધીરેધીરે એક પછી એક તમામ રૂટ બંધ થયા હતા, અને અંદાજિત 2 વર્ષ કરતા વધુ સમયથી શહેરમાં સિટી બસ સેવા બંધ પડી છે. ત્યારે હવે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તે પહેલાં મનપાના શાસકો સિટી બસ સેવા શરૂ કરવા મથામણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરને 100 ઇ-બસો ફાળવવામાં આવી હતી, અને જે પૈકી 40 બસો હાલ ભાવનગર આવી ચૂકી છે. જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જિંગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. શહેરમાં 155 સ્ટોપ પોઇન્ટ આઇડેન્ટિફાય કરવામાં આવ્યાઆવનાર દિવસોમાં, એટલે કમુરતા પૂર્ણ થતાં, ઇ-બસ સેવા શરૂ કરવા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સિટીબસ સેવા માટે શહેરમાં કુલ 17 રૂટો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 9 અર્બન/શહેરી અને 8 સબ-અર્બન/શહેર બહારના રૂટો નક્કી કરવામાં આવ્યા છે. જે માટે શહેરમાં 155 સ્ટોપ પોઇન્ટ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. 'નાનામાં નાના માણસોને ક્યાંય તકલીફ નહીં પડે'મેયર ભરત બારડે વધુમાં જણાવ્યું હતું કે, આ ઈ-બસના 17 રૂટ નક્કી કર્યા છે જે 28 KM સુધી લઈ જવાના છે, અને નાનામાં નાના માણસોને ક્યાંય તકલીફ પડે નહીં અને સુગમતા રહે, ભાડામાં પણ સુગમતા રહે અને લોકોને સુવિધા મળી રહે તે માટે આ ઈ-બસ સેવા શરૂ કરી રહ્યા છીએ. લગભગ કમુરતા પૂરા થાય ત્યાં સુધીમાં બસનું આરટીઓ પાર્સિંગ પણ થઈ જશે અને આ બસને રોડ પર દોડતી કરી દઈશું.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની વસાહતમાં રહેતા પરપ્રાંતિય પરિવારના એક યુવકને તેના જ પરિવારના સભ્યો સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેના કારણે ગત મોડી રાત્રે યુવકને એક બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દીધો હતો. યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય ગ્રુપના લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. પરિવાર સાથે ઝઘડો થયો ને પાંચમાં માળેથી યુવકને નીચે ફેંક્યોવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામની સેન્ચ્યુરી કંપની પાસેની વસાહતમાં રહેતા 25 વર્ષના અનુજ છનનુલાલ સકસેનાને અગાઉ તેમની જ વસાહતમાં રહેતા તેમના પરિવારના સદસ્યો સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. ગત રાત્રે 11 વાગ્યા બાદ તેઓ સેન્ચ્યુરી કંપની પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમના પરિવારના સદસ્યો તેમને મળી ગયા હતા અને તેને પરાણે કંપનીની સામેની એક બિલ્ડીંગના પાંચમા માળે લઈ ગયા હતા અને ત્યાંથી તેને ફંગોળી દેવાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં અમદાવાદ રિફર કરાયોઆ ઘટનામાં અનુજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વડોદરાની આથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ અધિકારી સતીષ છગનભાઈના જણાવ્યા અનુસાર બંને પક્ષે તકરાર થઈ હતી. તેને કારણે યુવકને ઇજા પહોંચી છે. હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તલવારથી મારતા ડાબા હાથમાં ઇજાઓઆ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં વિજયકુમાર શિહોરીલાલ જનાલ (ઉંમર વર્ષ 28) ને તલવારથી મારતા ડાબા હાથમાં ઇજાઓ પહોંચી હતી. સાથે જ પ્રવેશ શાહ (ઉંમર વર્ષ 24), સુભાષ વૃંદાવન જનાલ (ઉંમર વર્ષ 30 અને કરણ સક્સેના ( ઉંમર વર્ષ 30) ને બીજાઓ પહોંચતા સહેજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાંચ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ શહેરની પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. પોલીસ તપાસ દરમિયાન, પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું છે. SOGએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ છે. જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં મોટી ઓઈલ રિફાઈનરી કંપનીઓ પણ આવેલી છે, જેના કારણે તેની સુરક્ષા પડકારજનક છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરીને દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસવાટ કરતા આવા ઈસમોને શોધી કાઢવા SOG દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત, SOGના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ જામનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન PSI એ.વી. ખેર અને પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ સોઢાને બાતમી મળી હતી. બાતમીના આધારે, જામનગરની પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તિક માર્બલ સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પાંચ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા, જેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના તરસાલી વિજયનગર પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન 125 એમ.એમ.ની ગેસની લાઈન તૂટી જતાં 300 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે આ પુરવઠો 3 કલાક સુધી બંધ રહેતા નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લીકેજ થતા ગેસ પુરવઠો ખોરવાયો હતોવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે વડોદરા મહાનગરપાલિકાના ઇજારદાર દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી. આ સમયે ગેસની લાઇન આ વિસ્તારમાંથી પસાર થતી હતી. જ્યાં કામગીરી દરિમયાન લીકેજ થતા ગેસ પુરવઠો ખોરવાયો હતો. આ ગેસ પુરવઠો ખોરવાતા આખરે અનેક લોકોના ઘરમાં ગેસ ન મળતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી કરાઈઉલ્લેખનીય છે કે, ગત ગઈ કાલે પણ શહેરના નવાપુરા વિસ્તારમાં અને ગત સપ્તાહે ગાજરાવાડીમાં ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત થતા આ ગેસ પુરવઠો કલાકો સુધી ગેસ પુરવઠો ખોવાઈ ગયો હતો. સવારે તરસાલી વિજય નગર પાસે ગેસ લાઇન તૂટતાં આ અંગેની જાણ વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ)ને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી. 300 મકાનમાં ગેસ પુરવઠો 3 કલાક સુધી મળ્યો નહોતોગેસ પુરવઠો ખોરવાતા તરસાલી વિસ્તારમાં આવેલી વિજયનગર, શાંતિનગર સહિતના અંદાજે 300 જેટલા મકાનમાં ગેસ પુરવઠો 3 કલાક સુધી મળ્યો ન હતો. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા હતા. જો કે ગેસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આખરે આ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર દ્વારા મળેલી માહિતી મુજબ, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર પિયર કેપ સાથે તૈયાર થઈ ગયા છે. જૂની સિવિલ તરફ તૈયાર પિયર કેપ પર પ્રથમ ગર્ડર લોન્ચિંગની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં દુર્ગા બજાર વિસ્તાર તરફ ગર્ડર લોન્ચિંગની કામગીરી પ્રગતિમાં છે. રેલવે ફાટક આસપાસ બે પિયર કેપ સાથે તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત, ટર્નિંગમાં ડેક સ્લેબની કામગીરી પણ ચાલી રહી છે. આ ઓવરબ્રિજ અંદાજે 22 કરોડના ખર્ચે બનશે. તે સાડા સાત મીટર પહોળો હશે અને રેલવે સેક્શનમાં ફૂટપાથ સાથેનો રહેશે. સ્થળ પર બનાવેલા ગર્ડરની લોન્ચિંગ કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલમાં 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થવા આવી છે. માર્ચ 2026 સુધીમાં આ રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
માંગરોળના મહુવેજ ખાતે આવેલી એક કંપનીમાં પુઠ્ઠાના બંડલ નીચે દબાઈ જવાથી 16 વર્ષીય સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સગીરાનું નામ લક્ષ્મી કનૈયા છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના પહાડીયા બુજુર્ગની રહેવાસી હતી. તે તેના માતા-પિતા સાથે માંગરોળના મહુવેજ ખાતે પનારા ક્રાફ્ટ કંપનીના લેબર રૂમમાં રહેતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મી તેના માતા-પિતાને જમવાનું આપ્યા બાદ કંપનીના વેસ્ટ સ્ટોક યાર્ડમાં બેસવા ગઈ હતી. ત્યાં પુઠ્ઠાના બંડલ પાસે બેસતી વખતે અચાનક એક બંડલ તેના પર પડ્યું હતું. પુઠ્ઠાના બંડલ નીચે દબાઈ જવાથી લક્ષ્મીને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. કંપનીના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બોટાદમાં આગામી જાન્યુઆરી માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 28 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે.કાર્યક્રમ બોટાદના તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, પાળિયાદ રોડ ખાતે યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે સ્વાગત (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. જે નાગરિકો પોતાના પ્રશ્નો કે ફરિયાદોની રજૂઆત કરવા માગતા હોય, તેમણે જરૂરી આધાર-પુરાવા સાથે 13 જાન્યુઆરી, 2026 સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે. અરજીઓ મામલતદાર કચેરી (ગ્રામ્ય), બોટાદ ખાતે જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 10:30 થી સાંજના 6:10 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો swagat.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી પણ કરી શકે છે. મામલતદાર (બોટાદ ગ્રામ્ય) દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મહીસાગર નદી પર જુના ગંભીરા બ્રિજની રીપેરીંગ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જોકે આ કામગીરીમાં જોવા મળી ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી દરમિયાન જે ડામરનો કાટમાળ નીકળી રહ્યો છે, તેને મજૂરો નદીના વહેતા પાણીમાં ફેંકી રહ્યા છે. રોડનો કાટમાળ વાહનમાં ભરી અન્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે વહેતા પાણીમાં ફેંકવામાં આવી રહ્યો છે. 21 લોકોનો ભોગ લેનાર વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજને સમારકામ કરીને ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ યુદ્ધના ધોરણે આ બ્રિજને શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે. જેમાં મજૂરો દ્વારા બ્રિજની કામગીરીનો કાટમાળ નદીના પાણીમાં જ ફેંકવામાં આવી રહ્યો છે. મહી નદી પર આવેલો ગંભીરા બ્રિજ ગત જુલાઇ મહિનામાં તૂટી પડતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ આસપાસના ગામો અને કંપનીમાં કામ કરતા કર્મીઓને અવર-જવર માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. આખરે બીજો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન છે. આગામી દિવસોમાં સ્ટીલ બ્રિજ ખુલ્લો મૂકાશે. રૂા.9.12 કરોડના અંદાજિત ખર્ચથી નવો સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવનાર સ્ટીલ બ્રિજની લંબાઈ અંદાજે 45 મીટર જેટલી હશે, જ્યારે તેનું વજન 150 ટન હશે. જેથી લોકોને રાહત થશે. ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈના બ્રિજ દુર્ઘટના બની તે દિવસે સવારથી લઈ રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10 જુલાઈના પૂનમ હોવાથી મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતાં મૃત્યુઆંક 21 થયો હતો. આ સાથે જ 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી.
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડની વચ્ચેના કટ બંધ કરીને ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ત્યાં હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઇડર બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે થઈને રાણીપ જુના ગરનાળામાં થઈને ચાંદલોડિયા તરફ જનારા વાહનચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે. નાના વાહનો નિર્ણયનગર અંડરપાસની ઉપર એલએમબી બ્રિજ પરથી જઈ શકે છે પરંતુ વાહન ચાલકો ત્યાંથી રોંગ સાઈડમાં જ આવી રહ્યા છે. ડિવાઈડર બંધ કર્યું લોકો રોંગ સાઈડ આવે છે છતાં પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળી નથી. રોડનો કટ બંધ કરાતા વાહનચાલકો રોંગ સાઈડમાં આવવા લાગ્યાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર અને ઇજનેર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા જે રોડમાં કટ મુકવામાં આવ્યો હતો. તેને બંધ કરી ડિવાઈડર બનાવવાની કામગીરી ટ્રાફિકને લઈને કરવામાં આવી રહી છે. નિર્ણય નગરના જુના ગરનાળા તરફ થઈને લોકો ઉમિયા હોલ ચાર રસ્તા તરફ જવા માટે ત્યાંથી જતા હોય ત્યારે ટ્રાફિક થતો હોય છે જેથી ટ્રાફિક પોલીસના સૂચનના ઇજનેર વિભાગના ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરીને રોડનો કટ બંધ કરી ડિવાઇડર કરી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતા ત્યાં કટ બંધ કરી દેવામાં આવ્યોએ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ નીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નિર્ણયનગર અંડર પાસમાંથી ચાંદલોડિયા તરફ બહાર નીકળતા જે કટ હતો તેને બંધ કરવાની જરૂર હતી. કારણ કે ત્યાં ટ્રાફિકની સમસ્યા હતી. જુના ગરનાળા તરફથી આવનારા વાહન ચાલકો ત્યાંથી નીકળતા હતા જેથી ચાંદલોડિયા તરફ જનારા લોકોને તકલીફ પડતી હોવાના કારણે થઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ટ્રાફિક પોલીસના સૂચનના આધારે ત્યાં કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવ્યું છે. નિર્ણયનગર અન્ડર પાસની ઉપર જે LMV બ્રિજ બનાવવામાં આવેલો છે તેને પહોળો કરવા માટે પણ કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું છે. રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છેનિર્ણયનગર અંડર પાસમાંથી રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે. અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા રોડનો કટ હતો. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે બંધ કરી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે થઈને હવે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. રાણીપ અને મિર્ચી ગ્રાઉન્ડની પાછળના ભાગેથી આવનારા વાહન ચાલકો જુના ગરનાળામાંથી ઘાટલોડીયા ઉમિયા હોલ તરફ અથવા ચાંદલોડિયા તરફ જાય છે. લોકો રોંગ સાઈડમાં ચાર રસ્તા સુધી જઈ રહ્યા છે, અકસ્માત સર્જાય તેવી સ્થિતિઅગાઉ જે રોડ નો કટ હતો ત્યાંથી જતા હતા પરંતુ તેના કારણે ટ્રાફિક થતો હોવાથી તેને બંધ કરી દેવાતા હવે લોકોને રોંગ સાઈડમાં ચાર રસ્તા સુધી જવું પડી રહ્યું છે જેના કારણે થઈને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂના ગરનાળામાંથી વાહન ચાલકો સીધા રોંગ સાઈડમાં ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. નિર્ણયનગર અંડર પાસની ઉપરના ભાગે ટુ વ્હીલર જઈ શકે તેવો LMV બ્રિજ બનાવવામાં આવેલો છે જોકે આ બ્રિજ ઉપરથી પણ ટુ-વ્હીલર ચાલકોની સાથે ફોર વ્હીલર અને રીક્ષા ચાલકો પણ પસાર થતા હોવાના કારણે ત્યાં ટ્રાફિક જામ સર્જાય છે. રોંગ સાઈડમાં આવતા ને અટકાવવા ટ્રાફિક પોલીસ નથીમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવી દેતા હવે વાહન ચાલકોને રોંગ સાઈડમાં અટકાવવા ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકવા જરૂરી છે અને જે વાહન ચાલકો રોંગમાં આવી રહ્યા છે તેમને અટકાવવા જોઈએ નહીં તો ત્યાં અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા છે. જે ટુ વ્હીલર વાહન ચાલકો જુના ગરનાળામાંથી આવી રહ્યા છે તેમને અંડરપાસ ઉપર નાના બ્રિજ ઉપર થઈને પછી ચાંદલોડિયા તરફ જઈ શકે તેના માટે ફરજિયાત કરવું જરૂરી છે તો જ અકસ્માત નિવારી શકાશે.
પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ:પાટણ ચૌધરી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
પાટણ ચૌધરી સમાજે પાલનપુર હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ, કડક કાયદાકીય કાર્યવાહી તથા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના 20 ડિસેમ્બર, 2025ના રોજ પાલનપુર-અમદાવાદ હાઈવે પર બની હતી. આ એક પૂર્વયોજિત અને ગંભીર હત્યાનો બનાવ હોવાનું જણાવાયું છે, જેણે જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા ઉભી કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર તલવાર, ધોકા અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના મિત્ર નીતિન ચૌધરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ તપાસ મુજબ, આ હુમલો જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઇરાદાથી અને પૂર્વયોજિત રીતે કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ ઉર્ફે લાલો નિમેષભાઈ માળી સહિતના આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો માળી સામે અગાઉ પણ કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાટણ ચૌધરી સમાજના આગેવાનો હરેશભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ ચૌધરી સહિતના સભ્યોએ કલેક્ટર તુષાર ભટ્ટ સમક્ષ આ રજૂઆત કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ભામૈયા પશ્ચિમ ગામના તળાવમાંથી વહેલી સવારે આશરે ૪૦ શંકાસ્પદ માંસ ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે આ માંસનો જથ્થો તળાવમાં ફેંકી દીધો હતો. આ તળાવનું પાણી ગામના દુધાળા પશુઓ પીવે છે. ઉપરાંત, તળાવની નજીક જ ગામને પીવાનું પાણી પૂરું પાડતી વોટર વર્ક્સની ટાંકી આવેલી છે. આથી, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામજનોએ આ ઘટનાને માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નહીં, પરંતુ ગોધરા અને જિલ્લાની કોમી એકતા અને શાંતિ ભંગ કરવાના ષડયંત્ર તરીકે ગણાવી છે. તેમણે અગાઉ ગામના મંદિર પાસે પણ આવા જ અણછાજતા કૃત્ય થયા હોવાનું જણાવ્યું હતું. માંસનો જથ્થો મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી તળાવમાંથી ફેંકાયેલા થેલાઓને બહાર કાઢી વિસ્તારને જંતુમુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારે નાના શહેરોના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 5 શહેરોને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે હવે માસ્ટર પ્લાન તૈયાર કરવા અર્બન પ્લાનર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ 5 શહેર 2030 સુધીમાં ‘સેટેલાઇટ ટાઉન’ બનશેરાજ્ય સરકારે અમદાવાદ નજીક સાણંદ, ગાંધીનગર નજીક કલોલ, વડોદરા નજીક સાવલી, સુરત નજીક બારડોલી અને રાજકોટ નજીક હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગર સમકક્ષ સુવિધાઓ વિકસાવીને તેમને આર્થિક પ્રવૃત્તિના નવા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર વધતું ભારણ ઘટાડી શકાય. એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર થશેશહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે નાના અને મધ્યમ શહેરોમાં રોજગારી, રહેઠાણ અને જીવનની ગુણવત્તા એકસાથે સુધરે. આ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સ દ્વારા એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર કરાશે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક થશે. સેટેલાઇટ ટાઉન એટલે શું?મહાનગરથી એક કલાકની અંદર પહોંચી શકાય એવા શહેરોને ઓળખીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે. અહીં ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ અને નાગરિક સુવિધાઓ વિકસાવી મોટા શહેરો પરનું દબાણ ઘટાડવાનો હેતુ હોય છે. સેટેલાઇટ ટાઉનમાં વિશ્વસ્તરીય સુવિધાઓનો પ્લાનસેટેલાઇટ ટાઉનમાં ઇલેક્ટ્રિક બસ સાથેનું જાહેર પરિવહન, રિંગ રોડ, પાણી પુરવઠો, વેસ્ટ મેનેજમેન્ટ, અર્બન ફોરેસ્ટ પાર્ક, તળાવો, મોડેલ ફાયર સ્ટેશન અને ‘મિક્સ યુઝ’ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. કામગીરીને ઝડપ આપવા મંજૂરી અને દેખરેખ સમિતિ પણ રચાઈ છે. 'નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, અર્બન એરિયા દેશનું ગ્રોથ સેન્ટર છે. વિકસિત ભારત માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવાના છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સ અને યુવા શક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, નાના શહેરોમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર શહેરી વિકાસ નહીં, પરંતુ રાજ્યના ભવિષ્યની આર્થિક દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યો છે.

24 C