પંચમહાલ SOG પોલીસે ગોધરા શહેરમાં જાહેરનામા ભંગ બદલ એક વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી 28 જાન્યુઆરીના રોજ દાહોદ રોડ પર આવેલા મહિન્દ્રા શોરૂમ પાસે તપાસ દરમિયાન કરવામાં આવી હતી. રમેશ ઉમાકાન્ત શર્મા નામના વ્યક્તિએ પોતાના કબજાનું મકાન પરપ્રાંતીય ઇસમને ભાડે આપ્યું હતું. જોકે, તેમણે ભાડુઆત પાસેથી કોઈ આધાર પુરાવા મેળવ્યા ન હતા અને સ્થાનિક પોલીસમથકે પણ આ અંગે જાણ કરી ન હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લામાં કોઈપણ મિલકત, મકાન કે અન્ય સંપત્તિ રાજ્ય બહારના વ્યક્તિઓને ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસમથકે જાણ કરીને તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે રમેશ ઉમાકાન્ત શર્મા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં ઘટેલી હૃદયદ્રાવક અને લોહિયાળ હત્યાના કેસમાં આજે નામદાર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હોસ્પિટલના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અતુલ ઉર્ફે મોન્ટી પરમારે પીએમ વિભાગના કર્મચારી અરવિંદ જેઠવાની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. આ કેસમાં જૂનાગઢ સેશન્સ જજ બી.જી. દવેએ 25 વર્ષીય આરોપી અતુલને આજીવન કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.. શું હતી સમગ્ર ઘટના.?. આ લોહિયાળ ખૂની ખેલ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ મધરાતે ખેલાયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, જ્યાં હજારો દર્દીઓ સાજા થવાની આશાએ આવતા હોય છે, ત્યાં જ હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે લોહીની નદીઓ વહી હતી. પીએમ વિભાગમાં કાર્યરત અરવિંદ જેઠવા નામના કર્મચારી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મધરાતે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્ટ્રાક્ટ બેઝ પર પટ્ટાવાળા તરીકે કામ કરતો અતુલ પરમાર અચાનક હાથમાં તીક્ષ્ણ છરી લઈને રૂમમાં ધસી આવ્યો હતો. અતુલે કોઈ પણ કારણ વગર સૂતેલા અરવિંદ જેઠવા પર ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ગંભીર હતો કે અરવિંદભાઈના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. ઘટનાને નજરે જોનાર નિખિલ સોલંકીના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ રૂમમાં દોડી ગયા ત્યારે લોહીલુહાણ હાલતમાં અરવિંદભાઈએ છેલ્લા શબ્દો કહ્યા હતા કે, અતુલ મને છરી મારીને ભાગે છે, તેને પકડો.ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા,પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનો જીવ બચી શક્યો ન હતો. સીસીટીવી ફૂટેજ અને એફએસએલ રિપોર્ટ બન્યા મજબૂત પુરાવા હત્યા બાદ જૂનાગઢ પોલીસના પીઆઈ એ.જી. જાદવ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અતુલ પરમારને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં આ કેસ ચાલતા મુખ્ય સરકારી વકીલ એન.કે. પુરોહિતે ધારદાર દલીલો રજૂ કરી હતી.હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓની જુબાની અને એફએસએલના રિપોર્ટને આધારે આરોપી સામેનો ગુનો સાબિત થયો હતો. ગરીબ પરિસ્થિતિને ધ્યાને રાખી ફાંસીના બદલે આજીવન કેદ સેશન્સ કોર્ટે ચુકાદો આપતી વખતે અવલોકન કર્યું હતું કે આરોપીએ અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. જોકે, આરોપીની યુવાન વય (25 વર્ષ) અને તેના પરિવારની ગરીબ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને મૃત્યુદંડના બદલે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપી અતુલ પરમારને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન જેલની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર કેસનો અંત આ કેસની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કર્મચારી પર જ હુમલો થયો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી વિરુદ્ધ જે ચાર્જશીટ તૈયાર કરી હતી, તેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ ચુકાદાથી મૃતકના પરિવારને ન્યાય મળ્યો છે અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં પણ કાયદા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.આમ, અઢી વર્ષ પહેલાં જૂનાગઢમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાના હત્યારાને હવે આજીવન જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ અત્યંત આક્રમક રીતે ચાલુ રહી હતી. લક્ષ્મી ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણીતા નામ એવા અનિલ બગદાણા ગ્રુપના કુલ 30થી વધુ ઠેકાણે તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તપાસમાં અત્યાર સુધી 40થી વધુ એવી કંપનીઓ સામે આવી છે, જેના નાણાકીય વ્યવહારો શંકાસ્પદ છે. આ કંપનીઓ 'શેલ કંપની' કાગળ પરની કંપનીઓ હોવાની પ્રબળ શક્યતાને આધારે ડેટા સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. જમીન સોદાઓ અને 'કાચા-પાકા' વ્યવહારોની ઊંડી તપાસઅનિલ બગદાણા ગ્રુપના કિસ્સામાં આવકવેરા વિભાગે જમીનના સોદાઓની ફાઈલો ખોલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા અનેક જમીન સોદાઓની યાદી આઈટીના હાથમાં લાગી છે. રેકોર્ડ પર દર્શાવવામાં આવેલી રકમ અને વાસ્તવિક લેવડ-દેવડ વચ્ચેના તફાવતને પકડવા માટે અધિકારીઓ હાલ ઘર અને ઓફિસમાંથી મળી આવેલી ડાયરીઓ, કાચી નોંધો, સાટાખતો અને ચિઠ્ઠીઓની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. શંકા એવી પણ સેવાઈ રહી છે કે કેટલાક મહત્વના દસ્તાવેજો દરોડા પહેલા જ મિત્રો કે અન્ય વિશ્વાસુ વ્યક્તિઓને ત્યાં ખસેડી દેવાયા છે, જેના પગલે તપાસનો વ્યાપ હજુ વધી શકે છે. સેબી અને મેહુલ ચોકસી કનેક્શનમુંબઈમાં ચાલી રહેલી તપાસમાં સેબીના આદેશનો હવાલો આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાકેશ ગજેરા દ્વારા કરવામાં આવેલા શેરબજારના વ્યવહારોમાં 'ઇનસાઈડર ટ્રેડિંગ' થયું હોવાની આશંકાએ અધિકારીઓએ વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. જોકે, મેહુલ ચોકસી સાથેના કનેક્શન બાબતે અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડ્યો નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો આ તપાસના તાર છેક શેરબજારના મોટા કૌભાંડો સુધી જોડાયેલા હોઈ શકે છે. સુરતના પ્રવીણ ભૂત, આશિષ અગ્રવાલ અને તરુણ ભગત જેવા નામો પણ હાલ આઈટીના સકંજામાં છે. યુનિવર્સલ ગ્રુપ અને શાંતાબેન ટ્રસ્ટ પણ રડારમાંમાત્ર હીરા કે જમીન જ નહીં, પરંતુ મોટા ટ્રસ્ટો અને અન્ય બિઝનેસ ગ્રુપ પણ આ તપાસમાંથી બાકાત નથી. યુનિવર્સલ ગ્રુપના કિશોર ગોવલિયા અને શાંતાબેન ટ્રસ્ટ જેવી સંસ્થાઓના નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે. ગીરીધર નામના શખ્સને ત્યાં પણ તપાસ યથાવત છે. આ તમામ વ્યવહારોમાં કરચોરીની મોટી રકમ બહાર આવે તેવી સંભાવના છે. ઇડીની એન્ટ્રીની સંભાવના જે રીતે હવાલા અને શેલ કંપનીઓના વ્યવહારો બહાર આવી રહ્યા છે, તે જોતા મની લોન્ડરિંગના પાસાઓ તપાસવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગમે ત્યારે આ તપાસમાં જોડાઈ શકે છે. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલની સ્થિતિ જોતા, સુરત, અમદાવાદ અને મુંબઈમાં ચાલી રહેલી આ તપાસ હજુ આગામી 4થી 5 દિવસ સુધી ચાલે એવી શક્યતા છે. અનિલ બગદાણાને ત્યાં અગાઉ થયેલી તપાસમાં કોઈના ચોક્કસ નિવેદનને આધારે આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ નજીક કુવાડવા ગામે રહેતા વાલાભાઈ રામભાઈ કટેસણીયા (ઉ.વ.65) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ ચાલીને જતા હતા ત્યારે માલિયાસણ બ્રિજ ભારત પેટ્રોલ પંપ પાસે કોઈ કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેઓને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. વાલાભાઈ મૂળ મોલડી ગામના વતની હતા અને વર્ષોથી કુવાડવા ગામે વાડી વાવવા રાખી ખેત મજૂરી કરતા હતા. વાડીએથી ચાલીને ઘરે જતાં હતા ત્યારે બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં 5 દીકરી 2 દીકરા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્નીની નજર સામે પતિનું મોત રાજકોટ નજીક હરિપર ગામના પાટીયા પાસે આવેલી બિલટેક કંપનીમાં રહેતા અને ત્યાં જ મજૂરીકામ કરતા રાજુભાઈ કશ્યપ (ઉં.વ.36) અને તેની પત્ની પૂજાબેન રાજુભાઈ કશ્યપ (ઉં.વ.30) ગઈકાલે કારખાનામાં રજા હોવાથી દંપતી બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બાઈક પર પરત કારખાને જતા હતા ત્યારે રાત્રે 8.30 વાગ્યા આસપાસ મેટોડા ગેટ નંબર 3 પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેમાં રાજુભાઈના માથા અને ચહેરા પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. જ્યારે પૂજાબેન રોડની સાઈડમાં ફંગોળાઈ જતા ઇજા પહોંચી હતી. બંનેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પતિ રાજુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક રાજુભાઈને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા. હાલ મેટોડા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. વિદ્યાર્થીનીએ અભ્યાસના ટેનશનમાં ફિનાઈલ પીધું રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કેદારનાથ ગેઇટ નજીક રહેતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ અભ્યાસના ટેન્શનમાં ફિનાઇલ પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરતી હોવાનું અને અભ્યાસનું ટેન્શન આવતા ફિનાઇલ પી લીધું હોવાનું સામે આવ્યું હતું. પરિણીતાએ ઘરકંકાસના કારણે એસિડ પીધું જયારે બીજા બનાવમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતી મુન્નીબેન સાહિલભાઇ પરમાર (ઉ.વ.24) નામની પરિણીતા એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં તેણીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું હતું અને તેને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પરિણીતાએ ઘરકંકાસના કારણે પી લીધાનું સામે આવ્યું છે. યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો ત્રીજા બનાવમાં રાજકોટ મોરબી હાઇવે પર કાગદડીના પાટીયા પાસે રહી છુટક મજૂરી કરતાં જગદીશભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે કુવાડાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેને સંતાનમાં એક દિકરો હોવાનું અને પત્નિ રિસામણે હોવાનું સામે આવ્યું છે.
સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનરના અધિકારીઓએ 17.5 કરોડની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કેસમાં મોડાસાના મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકકુમાર પટેલની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બોગસ કંપનીઓ ખોલી બિલ ઈસ્યૂ કરવામાં આવતાસેન્ટ્રલ GST નોર્થ ગાંધીનગરના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝની તપાસ ચાલુ હતી. દરમિયાન એવી માહિતી બહાર આવી હતી કે, ઘરના પરિવારના સભ્યો અને મિત્રોના નામે બોગસ કંપનીઓ ખોલીને માત્ર બિલ ઈસ્યૂ કરવામાં આવતા હતા. દરમિયાન એવી પણ માહિતી બહાર આવી હતી કે, કંપનીના માલિકે રોયલ ઇન્ડસ્ટ્રીઝ, ખુશ ઇન્ડસ્ટ્રીઝ, રોયલ સ્ટીલ ઇન્ડરસ્ટ્રીઝ અને ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ સહિત 10થી 15 બોગસ કંપનીઓ ખોલીને માત્ર બોગસ બિલિંગ જ કરતા હતા. મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકુમાર પટેલની ધરપકડમાલસામાનની કોઈપણ હેરાફેરી કરવામાં આવતી ન હતી. જેના કારણે સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનર રેટના અધિકારીઓએ મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિકુમાર પટેલની ધરપકડ કરીને મોડાસાની કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સમગ્ર કેસની તપાસ ચાલુ છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની મર્યાદા કરતા વધારે ક્રેડિટ લઈને સરકારને આર્થિક નુકસાન કર્યું છે. હાલ 17.5 કરોડની ખોટી રીતે ક્રેડિટ લેવામાં આવી છે. આ ક્રેડિટ 20 કરોડથી પણ વધારે થઈ શકે છે અને હજુ પણ વધુ લોકોની ધરપકડ થવાની પણ શક્યતા છે.
સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે એક સગીરની હત્યા કરવામાં આવી છે. અંદાજે 16 વર્ષીય સગીરને બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના અંગત અદાવતને કારણે બની હોવાનું અનુમાન છે. હુમલાખોરો હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
બોટાદ જિલ્લાને મતદાર જાગૃતિ માટેની 'બોટ્રોન' પહેલ બદલ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. આ ગૌરવ બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર ડો. જિન્સી રોયનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર 16મા રાષ્ટ્રીય મતદાર દિવસ, 25 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. જિન્સી રોયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. 'બોટ્રોન' (BOTRON) એ બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મૂકાયેલી એક અનોખી અને નવીન ટેકનોલોજી આધારિત પહેલ છે. આ પહેલને 'Innovative Voter Awareness Initiatives' શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગુજરાત રાજ્યમાંથી આ શ્રેણીમાં માત્ર બોટાદ જિલ્લાને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શંકરભાઈ ધોળું અને તેમની ટીમ દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 5:30 કલાકે આ સન્માન સમારોહ યોજાયો હતો.
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો:વાપી-ઉદવાડા વચ્ચે આરોપી ઝડપાયો, RPFની ઝડપી કાર્યવાહી
વલસાડ જિલ્લાના વાપી નજીક 27 જાન્યુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસ (ગાડી નં. 22962) પર પથ્થરમારાની ઘટના બની હતી. ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના C/11 કોચનો કાચ તૂટી ગયો હતો. રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમાર સિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. RPF વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને તેમની ટીમે 'ઓપરેશન સંરક્ષા' હેઠળ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, અમદાવાદ ડિવિઝન પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિમી 177/07 નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. RPF દ્વારા વાપી, મોરાઈ ફાટક નિવાસી 20 વર્ષીય સતેન્દ્ર કુમાર ઉર્ફે છોટુની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં સતેન્દ્રએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત કરી. તેની સાથે હાજર અન્ય એક વ્યક્તિ શ્રીપાલ શિવનરેશ સામે પણ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્ય આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.
ગોધરામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ગોધરા શહેરના કનેલાવની મુવાડી ખાતે એક યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી બુઝર્ગના કનેલાવની મુવાડીમાં રહેતા 35 વર્ષીય શૈલેષ સામંતસિંહ પરમારે ગત 28 જાન્યુઆરીની રાત્રિના અરસામાં પોતાના જ ઘરમાં સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પાછળનું કારણ અગમ્ય છે. મૃતકના કાકાના દીકરા અલ્પેશકુમાર બળવંતસિંહ પરમારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે આ અંગે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની લીલપર ચોકડી પાસે ઇનોવા કારમાં આગ:સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ફાયર ટીમ રવાના
મોરબીની લીલપર ચોકડી નજીક મોડી સાંજે એક ઇનોવા કારમાં આગ લાગી હતી. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર લીલપર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે આખી ગાડીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગેલ કારનો નંબર GJ 36 L 9106 છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જોકે, કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે ફરીથી સગીરા ભાગી ગઈ છે. જે સંદર્ભે દાહોદના ધાનપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેબિયસ કૉર્પસ દાખલ કર્યા બાદ સગીરા મળી આવીસગીરાને સદેહે હાજર કરવા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સગીરા મળી આવી હતી. તેના માતા-પિતા સાથે રહેવા ઇચ્છા દર્શાવી હતી. હવે તેના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં ફરી અરજી કરતા હાઈકોર્ટે દાહોદની સિવિલ હોસ્પિટલને સગીરાનો ફરી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યા છે. આવતીકાલે તે હોસ્પિટલમાં ઉપસ્થિત થશે અને તેનો રિપોર્ટ 2 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ મુકવામાં આવશે. હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યાઉલ્લેખનીય છે કે, સગીરા જ્યારે પહેલી વખત ભાગી ત્યારે તેની યોગ્ય કાળજી રાખવાની બાહેંધરી તેના વાલી દ્વારા આપવામાં આવી હતી. વળી પ્રોબેશન ઓફિસર દ્વારા તેની નિયમિત મુલાકાત પણ લેવાની થતી હતી. અગાઉ સગીરા ગર્ભ રાખવા માગતી ન હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતો.
વેરાવળ-પાટણ નગરપાલિકાની અંતિમ બોર્ડ બેઠક યોજાઈ:27 ઠરાવો રજૂ, મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરાયા
વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડ બેઠક પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં એજન્ડા મુજબ તેમજ પ્રમુખસ્થાનેથી કુલ 27 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. શહેરના વિકાસને લગતા મોટાભાગના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહકારભર્યું વાતાવરણ દર્શાવે છે. બેઠકમાં કુલ 44 સભ્યો પૈકી ભાજપના 22 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 5 સભ્યો ગેરહાજર હતા અને 4 સભ્યોના રજા રિપોર્ટ રજૂ કરાયા હતા. કોંગ્રેસના 10 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા અને 3 સભ્યોના રજા રિપોર્ટ રજૂ થયા હતા. બેઠક દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સદસ્યો વચ્ચે પીવાના પાણી, સફાઈ, રસ્તા, લાઇટિંગ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે તંદુરસ્ત અને તર્કસભર ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓમાં અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત નગરપાલિકા બોડીની મુદત આગામી 14 માર્ચે પૂર્ણ થઈ રહી છે. આ કારણે વર્તમાન ટર્મની આ બેઠક આખરી જનરલ બોર્ડ બેઠક તરીકે મહત્વપૂર્ણ બની હતી. શહેરના આવનારા સમયના આયોજન અને ચાલુ વિકાસકામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. જનરલ બોર્ડ બેઠકમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત નગરપાલિકાના તમામ વિભાગોના બ્રાન્ચ હેડ્સ હાજર રહ્યા હતા. તમામ વિભાગો દ્વારા તેમના વિભાગસંબંધી મુદ્દાઓ પર જરૂરી માહિતી અને સ્પષ્ટતા આપવામાં આવી હતી. આમ, વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડ બેઠક શાંતિપૂર્ણ, તંદુરસ્ત ચર્ચાઓ અને વિકાસલક્ષી નિર્ણયો સાથે પૂર્ણ થઈ હતી, જે શહેરના નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે.
મોરબી જિલ્લામાં ત્રણ યુવાનોના અપમૃત્યુ:પત્ની સાથે ઝઘડા બાદ એક યુવકનો આપઘાત, બે યુવક ઊંચાઈ પરથી પડ્યા
મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. હળવદના કાવડિયા ગામે પત્ની સાથેના ઝઘડા બાદ એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ પરથી પડી જવાથી બે યુવાનોના મોત થયા છે. હળવદ તાલુકાના કાવડિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે ચાચું ખોડાભાઈ ચારોલા (ઉંમર 30) નામના યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અનિલભાઈને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. આ બાબત મનોમન લાગી આવતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટના બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હળવદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ મેટકસ મિનરલ એલએલપી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સ્વરૂપભાઈ નાયક (ઉંમર 25) કારખાનામાં મજૂરી કામ કરતા હતા. કામ કરતી વખતે તેઓ દિવાલ પરથી નીચે પડી જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોરબીના નવલખી રોડ પર આવેલ રોયલ પાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડ્યા (ઉંમર 43) ગઈકાલે સાંજે પોતાના ઘરે અગાસી પર હતા. અગાસી પર તેમને ચક્કર આવતા તેઓ નીચે પટકાયા હતા. તેમને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં 27 જેટલા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગાડી સર્વિસ, આઇકોનિક રોડ અને BU પરમિશન જેવા મુદ્દે વાતાવરણ તંગ બન્યું હતું. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સભ્યોને ઉદ્દેશીને તમે દૂધે ધોયેલા નથી તેવી ટિપ્પણી કરી. આ ટિપ્પણી બાદ કોર્પોરેટર મનોજ પટેલ સહિત શાસક પક્ષના સભ્યો આક્રમક બન્યા હતા. મનોજ પટેલે જણાવ્યું કે, ચીફ ઓફિસરના શબ્દોને કારણે તેમને સભા છોડીને જવું પડ્યું હતું. સભામાં હશાપુર પાસે બનેલા આઇકોનિક રોડ મામલે પણ ગરમાવો જોવા મળ્યો. ભાજપના જ બે કોર્પોરેટરો મનોજ પટેલ અને અરવિંદ પટેલ આ મુદ્દે સામસામે આવી ગયા હતા. અન્ય સભ્યોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. BU પરમિશનના મુદ્દે ગંભીર આક્ષેપો થયા હતા. કોર્પોરેટર મનોજ પટેલે આરોપ લગાવ્યો કે, બી.ડી. સાર્વજનિક હાઈસ્કૂલ જેવી સંસ્થાને દોઢ મહિનાથી પરમિશન અપાતી નથી, જ્યારે અન્ય લોકોને 'મીઠાઈ ખવડાવવા' બદલ તરત પરમિશન મળી જાય છે. બીજી તરફ, ચીફ ઓફિસર હિરલ ઠાકરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, તેમણે કોઈની પાસેથી મીઠાઈ લીધી નથી અને BU પરમિશન સરકારના ધારાધોરણો મુજબ જ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ ફાઈલો રોકી રાખવાની સિસ્ટમ બંધ કરીને હવે 24 કલાકમાં પારદર્શક પ્રક્રિયાથી પરમિશન અપાય છે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, પાલિકાના જે સુપરવાઈઝર સારી કામગીરી કરી રહ્યા છે અને ડીઝલની બચત કરી છે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ જે ડીઝલ અન્યની ગાડીઓમાં જતું હતું તે બંધ થતા આવા પ્રશ્નો ઉભા કરાય છે. આઇકોનિક રોડ મુદ્દે મનોજ પટેલે સ્પષ્ટતા કરી કે, વિપક્ષના આક્ષેપો વચ્ચે તેઓ માત્ર જાગૃત સદસ્ય તરીકે સારા રોડ બને તેવો આગ્રહ રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, સભ્યો વચ્ચે માત્ર મનભેદ હતો, કોઈ મનદુઃખ નથી. પાલિકાની આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે થયેલા આ વિવાદોએ શહેરભરમાં ચર્ચા જગાવી છે.
મોડાસામાં ભગિની સેવા સમાજની મહિલાઓએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરાયેલા નવા રેગ્યુલેશન 2026 સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકને આવેદનપત્ર સુપરત કરીને આ કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે UGC બિલમાં એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સમાજના ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે.સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ બિલના અમલથી જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે અન્યાયકારક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને આ કાયદો નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે. ભગિની સેવા સમાજ, મોડાસાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ બિલમાં જરૂરી સુધારા કરવામાં આવે અને જનરલ કેટેગરીના હિતોનું રક્ષણ થાય.મહિલાઓએ કલેક્ટર પ્રશસ્તિ પારિકને વિનંતી કરી હતી કે આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવે, ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવે અને બિલના વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવામાં આવે.ભગિની સેવા સમાજની મહિલાઓએ ન્યાયની માંગ સાથે UGC રેગ્યુલેશન 2026 તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં આવે અથવા કાયદાની સમીક્ષા કરી તેમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી અવાજ ઉઠાવ્યો હતો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બપોરના સમયે મધ્યપ્રદેશ પાસિંગની એક ફોરવ્હિલ ગાડીએ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારીને સામેથી આવતી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશ પાસિંગ નંબરની ફોરવ્હિલ ગાડીના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને GJ-20 નંબરની એક્ટિવાને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના માળીવાડ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ માળી (એક્ટિવા ચાલક) રોડ પર ફંગોળાઈ ગયા હતા. તેમને માથા, હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઝાલોદ પોલીસને જાણ કરી હતી. ઝાલોદ પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મરણ જનારના પંચો રૂબરૂ પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જેને પોલીસે પૂર્વવત કર્યો હતો. આ મામલે મૃતક મુકેશભાઈ માળીના પુત્ર યોગેશભાઈ મુકેશભાઈ માળીએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફોરવ્હિલ ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફોરવ્હિલ ગાડીની ઝડપ, બેદરકારી અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને હાઈવે માર્ગો પર પૂરઝડપે વાહન ચલાવવાની પ્રવૃત્તિ અને ટ્રાફિક નિયમોની અવગણનાને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સુરતના કારખાનામાં બનેલું કપડું કે સૌરાષ્ટ્રનાં ખેતરમાં પાકેલી જણસ સીધી પેરિસ કે બર્લિનના મોલમાં કોઈ પણ કરવેરા વગર વેચાશે અને તેમાં વેપારી અને ખેડૂત બંનેને ફાયદો પણ થશે? અમેરિકાની ધમકીઓ છતાં, ભારતે એ કરી બતાવ્યું છે જે દાયકાઓથી અશક્ય લાગતું હતું. ભારતે યુરોપિયન યુનિયન સાથે એક ડિલ સાઈન કરી છે જેને ભારતના ઈતિહાસમાં સૌથી મોટી અને વિશ્વ લેવલે મધર ઓફ ઓલ ડિલ્સથી ઓળખવામાં આવી રહી છે. આ કાગળ પરની ડિલ તમારા ખિસ્સા, તમારા સંતાનોની નોકરી અને ગુજરાતના વેપાર માટે ખુલેલું ગોલ્ડન ગેટ છે. પણ તેનાથી કેવી રીતે ફાયદો થશે? શું હવે લક્ઝરી કાર સસ્તી થશે કે પછી આપણા હીરા ઉદ્યોગની ચમક દુનિયામાં વધશે? જાણો આ 21મી સદીના સૌથી મોટા આર્થિક કરારની એ વાતો, જે દરેક ગુજરાતીએ જાણવી જરૂરી છે. નમસ્કાર... આપણે 27 જાન્યુઆરી 2026ના દિવસે નરેન્દ્ર મોદી, EU આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાને મધર ઓફ ઓલ ડિલ્સ એટલે કે ભારત અને યુરોપિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ડોક્યુમેન્ટ સાઈન કરી. તેનો ફાયદો કંઈક આવી રીતે સમજો માની લો કે મુન્દ્રાના બંદરથી 100 રૂપિયાની વસ્તુ લઈને એક જહાજ યુરોપ પહોંચ્યું. હાલ લોજિસ્ટિક્સ, ટેક્સ, ઈમ્પોર્ટ ડ્યૂટી, કસ્ટમ, પ્રોફિટ માર્જિન મળીને તેના 500 રૂપિયા થઈ જાય છે. પણ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના કારણે હવે એ જ વસ્તુ 150 રૂપિયામાં મળી જશે. ટૂંકમાં મોંઘી વસ્તુઓ ઓછા લોકો ખરીદે છે. જો વસ્તુ સસ્તી થઈ જાય તો ખરીદનારની સંખ્યા વધી જાય છે અને આનાથી જ વેપાર વધશે અને ભારતને ફાયદો થશે. હવે સમજો કે ભારત અને યુરોપિયન યુનિયનનું સાથે આવવું કેટલું મહત્વનું છે. 2013માં 'મધર ઓફ ઓલ ડીલ્સ' ફેઈલ થઈપણ આ બધું રાતોરાત નથી થયું. આ ડિલ પર પાછલા 19 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. ભારત ઈયુ એફટીએની શરૂઆત 2007માં થઈ હતી. ત્યારે તેને બ્રોડ બેઝ્ડ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવતી હતી. વર્ષ 2013માં વાટાઘાટોના 15 રાઉન્ડ થયા પણ ભારતની સુરક્ષાના કારણો અને યુરોપની હઠના કારણે ડિલ પડી ભાંગી હતી. યુરોપ ઈચ્છતું હતું કે ભારત લક્ઝરી ગાડીઓ અને વાઈન પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડે. સામેની બાજુ આપણી ઈચ્છા હતી કે ભારતીય આઈટી પ્રોફેશનલ્સને યુરોપમાં કામ માટે ઈઝી ટેન્ટ્રી મળે. ત્યારે બંનેની આશા અપેક્ષાઓ માટે જમીન આસમાનનું અંતર હતું. ત્યારે યુરોપ માટે ભારત માત્ર એક માર્કેટ હતું, પાર્ટનર નહીં. એટલે આ મામલે 2013 પછી બંને વચ્ચે વાતચીત સાવ બંધ પડી ગઈ. જેની ચિનગારી 2022માં ફરી લાગી. અમેરિકા બેવફા, યુરોપની આંખો ખુલીયુરોપની આંખ એમને એમ નથી ખુલી. યુરોપને ભારતની વધતી શક્તિ, અર્થતંત્ર અને વસ્તી દેખાય છે. અને માત્ર આટલું જ પૂરતું નથી, સૌથી મોટું કારણ અમેરિકા છે. તેમનું મિત્ર અમેરિકા બેવફા થયું માટે હવે તેમને નવા પાર્ટનરની જરૂર હતી. અમેરિકાએ ટેરિફનો મારો તો ચલાવ્યો પણ તેમનો વિસ્તાર ગ્રીનલેન્ડ હતિયાવી લેવાની ધમકી આપી દીધી. જેના કારણે યુરોપિયન યુનિયનનો ઈગો ઘવાયો. સામેની બાજુ રશિયા સામે યુક્રેન વોરના કારણે તેમને વાંધો છે, ચીન પર ભરોસો મૂકી શકે તેમ નથી, સૌથી મોટી શક્તિમાં બચ્યું ભારત, માટે ઈયુએ ભારત તરફ મીટ માંડી છે. યુરોપ સમજી ગયું કે અમેરિકાની દાદાગીરી વધી રહી છે તેને સબક શીખવવા ભારતનો હાથ પકડવો જ ઓપ્શન છે. યુરોપિયન યુનિયનને ચીન પરની સપ્લાય ચેઈન નિર્ભરતા ઘટાડવી છે. રશિયા યુક્રેન વોર પછી યુરોપ સમજી ગયું કે લોકશાહી ધરાવતો દેશ જ લાંબાગાળે ફાયદાકારક સાબિત થશે. હવે વાત કરીએ ભારત અને યુરોપ વચ્ચે કેટલો વેપાર થઈ રહ્યો છે અને આ ડિલ બાદ તેમાં કેટલો વધારો થશે અને પછી વાત કરીશું ગુજરાતના કચ્છ કે ડાંગમાં બેઠેલા માણસને આનાથી કેવી રીતે ફાયદો થઈ શકે. સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ માટે આ સારા સમાચાર છે. અત્યાર સુધી યુરોપમાં ભારતીય જ્વેલરી પર 2.5% થી 4% ડ્યુટી હતી, જે હવે પૂરી રીતે નાબૂદ થશે. આનાથી બેલ્જિયમ અને ઈટલી જેવા બજારોમાં ભારતીય જ્વેલરીની માંગ વધશે અને સુરતના હિરા વેપારીઓ અને રત્નકલાકારોને ફાયદો થશે. હવે વાત કરીએ હાલ બંને દેશો વચ્ચે કેટલો વેપાર થઈ રહ્યો છે. ભારત-યુરોપ વચ્ચે વેપારનું ગણિતવર્ષ 2024-25માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 136 અબજ ડોલર (11.5 લાખ કરોડ) જેટલો વેપાર થયો હતો. આ ડિલ બાદ 2032 સુધીમાં બંને દેશ વચ્ચે વેપાર 300 બિલિયન ડોલર (અંદાજે 25 લાખ કરોડ) સુધી પહોંચાડવાનો ટારગેટ છે. EUએ ભારતમાં અત્યાર સુધીમાં 117 બિલિયન ડોલરથી વધુનું FDI એટલે કે વિદેશી સીધું રોકાણ કર્યું છે. કાપડ-હિરા-ચામડાના ઊદ્યોગોને બખ્ખાંભારતના ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા લેબર વર્કમાં ડ્યૂટી ફ્રી થવાના કારણે કહેવાઈ રહ્યું છે કે 10 લાખ જેટલી નવી નોકરી ઉભી થઈ શકે છે. આ ડિલ બાદ યુરોપિયન કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ નાખશે. જેના કારણે યુરોપની લેટેસ્ટ ટેક્નોલોજી ભારત આવશે. ગુજરાતનું જહાજ રોકાયા વિના યુરોપ પહોંચશેIMEC કોરિડોર એટલે કે ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર હેઠળ કચ્છના મુન્દ્રા પોર્ટથી માલ સીધો ગ્રીસ કે ઈટલીના બંદર સુધી સિંગલ વિન્ડો ક્લિયરન્સથી પહોંચશે. ભારતને ડેટા સિક્યોર નેશનનો ટેગ મળશે તો પુણે કે બેંગલુરુની IT કંપનીઓ યુરોપિયન બેંકોનો ડેટા ભારત લાવીને પ્રોસેસ કરી શકશે. આનાથી IT સેક્ટરમાં નોકરીઓ વધશે. યુરોપ ભારત પાસેથી ગ્રીન હાઇડ્રોજન ખરીદવા માંગે છે. આનાથી ગુજરાતના કચ્છ અને જામનગરના રિન્યુએબલ એનર્જી સેક્ટરને કેવો ફાયદો થઈ શકે એમ છે. યુરોપને ભારતથી 44 હજાર કરોડનો ફાયદો!આપણે સૌ જાણીએ છીએ કે તાળી એક હાથે ન વાગે. માટે હવે વાત કરીએ કે આ ડિલથી યુરોપને શું ફાયદો થશે. તો 140 કરોડથી વધુ વસ્તીવાળા માર્કેટમાં યુરોપિયન પ્રોડક્ટ્સને સસ્તો પ્રવેશ મળશે. એવું નથી કે અત્યારે પ્રવેશ નથી. અત્યારે છે પણ ભારત તેના પર ઘણો ટેરિફ વસૂલે છે જેથી જેતે વસ્તુઓની કિંમત યુરોપથી ભારતના વ્યક્તિ પાસે પહોંચવામાં ઘણી મોંઘી થઈ જાય છે. જો તે સસ્તી થાય તો ભારતીયો ખરીદે અને આ ડિલથી એવું જ થશે. યુરોપિયન કંપનીઓ દર વર્ષે અંદાજે 44 હજાર કરોડ રૂપિયાની ડ્યૂટી બચત થશે. ફાઈનાન્શિયલ સર્વિસ અને શિપિંગ ટ્રાન્સપોર્ટેશનમાં ઈયુ કંપનીઓને ભારતમાં સ્પેશિયલ એક્સેસ મળશે. હાલ ભારતના કારણે યુરોપિયમાં 8 લાખ નોકરી નભે છે. આ ડિલ પછી આંકડો વધશે. ડીલ પૂરી રીતે લાગુ થતાં 5 વર્ષથી વધુ સમય લાગશેપણ આ બદલાવ રાતોરાત નહીં આવે. એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે ડિલ પૂરી રીતે લાગુ થવામાં પાંચ વર્ષ લાગી શકે છે. ભારત અને ઈયુ વચ્ચે હાલ તો માત્ર કરાર ફાઈનલ થયો છે. યુરોપિયન યુનિયનની કાઉન્સિલમાંથી તેમને મંજૂરી મળશે. આવતા 6 મહિના સુધીમાં લીગલ ઈશ્યુ અને બંનેના હિતોને ધ્યાનમાં રાખીને ઈયુ અને ભારતના પ્રતિનિધિઓ આ કરાર પર સહિ કરશે. ત્યાર બાદ આ કરારને યુરોપિયન પાર્લામેન્ટની સર્વસંમતી માટે મોકલાશે. યુરોપની 27 દેશોની સંસદ તેને મંજૂરી આપશે. 'મધર ઓફ ઓલ ડીલ્સ'થી દુનિયાને મેસેજઆ ડિલને જીઓપોલિટિકલ અસરથી સમજીએ તો આનાથી દુનિયાને એક તો મોટો મેસેજ જાય છે કે અમેરિકાની દાદાગીરી બહુ નહીં ચાલે. ભારત પશ્ચિમી લોકશાહી માટે એશિયાનું સૌથી મોટું ભરોસાપાત્ર પાર્ટનર બની રહ્યું છે. દુનિયા પર ચીનના દબદબાનો વિકલ્પ આપવા ભારત અને યુરોપિયન યુનિયન એક ઓપ્શન સાબિત થશે. ડિફેન્સ ડિલ્સના કારણે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની પકડ વધુ મજબૂત થશે. હવે પાંચ એવી વાતો જે છે મહત્વની પણ સમાચારોમાં દબાઈ ગઈ છે જેના કારણે બહુ ઓછા લોકોને જાણકારી છે આ દેશો સાથે ફ્રી ટ્રેડ કરે છે ભારત ભારત ઓસ્ટ્રેલિયા, UAE, સ્વિત્ઝરલેન્ડ, નોર્વે, આઈસલેન્ડ, લિક્ટેંસ્ટેઇન, મોરિશિયસ, આશિયન દેશો, જાપાન, સાઉથ કોરિયા, સાર્ક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ વેપાર કરી રહ્યું છે. યુરોપિયન યુનિયન, યુનાઈટેડ કિંગડમ, ઓમાન અને ન્યૂઝિલેન્ડમાં ટૂંક સમયમાં લાગુ થશે, જ્યારે અમેરિકા અને કેનેડામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મામલે નેગોશિયેશન્સ ચાલી રહ્યા છે. ત્રીજો ન ફાવે તેના માટે કડક નિયમોચીન પોતાનો માલ વાયા યુરોપથી ભારતના મોકલી દે તેના માટે ભારતે કડક રુલ્સ ઓફ ઓરિજિનના નિયમો પણ બનાવડાવ્યા છે. રુલ્સ ઓફ ઓરિજિન એટલે માની લો કે બે દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય ત્યારે આશય હોય છે કે બે જ દેશોને ફાયદો થાય. એટલે ચીન વિચારે કે મારા માલ પર ભારતમાં મોટાપાયે પ્રતિબંધ છે. તો હું યુરોપથી વાયા ભારત માલ મોકલી શકું. સૈન્ય ઈન્ટેલિજન્સ પણ શેર કરાશે એક મુદ્દો જેની ચર્ચા ઓછી થઈ તે છે મિલિટરી, મેરિટાઈમ અને ડિફેન્સ સિક્યોરિટીની. હવે ફ્રાન્સ અને જર્મની જેવા દેશો સાથે મળીને ભારતમાં જ સબમરીન કે એરક્રાફ્ટ એન્જિન બનાવશે. ભારત અને ઈયુ એકબીજાના નૌકાદળોમાં દરિયામાં પેટ્રોલિંગ કરી શકશે. અને ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે ઈન્ટેલિજન્સ શેર કરી શકશે. વિજ્ઞાનમાં રસ ધરાવનારને મોટો ફાયદો યુરોપમાં વિશ્વનો સૌથી મોટો રિસર્ચ અને ઈનોવેશનનો હોરાઈઝન નામનો એક પ્રોગ્રામ ચાલે છે. તો હવે ભારતના વૈજ્ઞાનિકોને યુરોપના અબજો ડોલરના રિસર્ચ ફંડનો એક્સેસ મળશે. એઆઈ, ક્લાઈમેન્ટ ચેન્જ અને હેલ્થકેર સેક્ટરની યુરોપની લેટેસ્ટ ટેક્નોલોજી ભારત આવશે. ભારતની યુનિવર્સિટી અને IITs યુરોપની લેબમાં સાથે મળીને કામ કરી શકશે. જેનાથી દેશમાં રિસર્ચ અને વિજ્ઞાનને એક નવી દિશા મળશે. વર્લ્ડ મીડિયામાં પણ આ ડીલના પડઘા પડ્યા છે. હવે એ જાણીએ કે દુનિયાના દિગ્ગજ દેશો તરફથી કેવી પ્રતિક્રિયા આવી છે. 1) અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ કહ્યું કે, યુરોપિયનો કરતાં અમેરિકાએ ઘણું મોટું બલિદાન આપ્યું છે. યુરોપિયનોએ ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તેઓ પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે.2) દાવોસમાં થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ચીનના વાઈસ પ્રીમિયર હી લાઈફેંગે ક્હયું હતું ચીનના રાષ્ટ્રીય હિતને નુકસાન, બંને દેશોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના રૂલ્સને તોડવા નહીં3) 22 ડિસેમ્બરે યુરેશિયન ઈકોનોમિક સંઘમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ ડિલ વિશે કહ્યું હતું કે,ભારત એક ભરોસાપાત્ર મિત્ર છે. સાર્વભૌમ દેશોને પોતાના વેપાર ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે.અને છેલ્લે... આપણે સૌ જાણીએ છીએ કે ત્રણ કૃષિ કાયદાઓને ખેડૂતોએ પોતાના દમ પર રદ કરાવ્યા હતા. ભારતમાં ફરી એવું ન થાય તેના માટે આ વખતે સરકારે કૃષિ અને ડેરી પ્રોડક્ટને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાંથી મુક્ત રાખ્યા છે જેથી ભારતમાં ફરી ખેડૂતોનું જેવું આંદોલન થયું હતું તેવું આંદોલન ફરી ન થાય. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
પાટણ તાલુકાના સંખારી ગામના સેવાભાવી યુવાનો દ્વારા 35 સિનિયર સિટીઝનો માટે ત્રણ દિવસીય નિઃશુલ્ક તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વડીલોએ દ્વારકા અને સોમનાથના દર્શન કર્યા હતા. આ યાત્રાનું આયોજન સંખારી ગામના ભરતભાઇ પટેલ, બકાભાઈ મિસ્ત્રી, તલસીભાઈ પટેલ, મનુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ અને કનુભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. વડીલોને દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, વીરપુર અને ખોડલધામ જેવા પવિત્ર સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા.યાત્રા દરમિયાન વડીલો માટે રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. યુવાનોના આ સેવાકાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા એક મહિલાનો ગુમ થયેલો રૂ, 18,000 ની કિંમતનો મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરવામાં આવ્યો છે. તનવીબેન જયેશભાઈ સાવલાણી નામની મહિલાનો ફોન અંબર ચોકડી વિસ્તારમાંથી ગુમ થયો હતો. આ ઘટના ગત 28 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. તનવીબેન અંબર ચોકડી પાસે આવેલા બાવરી વાસમાં જમવાનું આપવા ગયા હતા. તે દરમિયાન તેમની એક્ટિવાના આગળના ખાનામાં રાખેલો મોબાઈલ ફોન ગુમ થયો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ ત્યાં નાના બાળકોને બિસ્કિટનો નાસ્તો આપી રહ્યા હતા ત્યારે કોઈ બાળકે ફોન લઈ લીધો હતો. આ અંગેની જાણ થતાં, ડો. રવિ મોહન સૈની અને DYSP જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફે સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી શરૂ કરી. PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પી.એ. ખાણધર, પો.કોન્સ. રીનાબા વાઘેલા, પારુલબા જાડેજા, વર્ષાબા જાડેજા, મિતલબેન સાવલિયા અને એન્જિનિયર પ્રિતેશ વરણ સહિતના સ્ટાફે અંબર ચોકડી વિસ્તારના અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ્યા. સી.સી.ટી.વી. ફૂટેજમાં અરજદાર નાસ્તો આપી રહ્યા હતા ત્યારે પીળા કલરના શર્ટ પહેરેલા એક છોકરાએ ફોન લીધો હોવાનું જણાયું. ત્યારબાદ સિટી બી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન સ્ટાફ અને કમાન્ડ કંટ્રોલના સ્ટાફે સ્થળની મુલાકાત લીધી. તપાસ બાદ તે છોકરા પાસેથી અરજદારનો મોબાઈલ ફોન સફળતાપૂર્વક મેળવી, અરજદારને પરત કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે માથાનો દુખાવો બની છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બિલકુલ નજીક ભૂગર્ભ ટાંકી બનાવવાની કામગીરીને કારણે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખોદકામને લીધે અડધો રસ્તો બંધ થતાં ઇમરજન્સી સ્થિતિમાં આવતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની અવરજવરમાં ભારે અવરોધ ઊભો થઈ રહ્યો છે. અગાઉ આ ખાડાઓમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ હતી. અહીં ગંભીર બાબત એ છે કે, જ્યાં ઓક્સિજનની બોટલો રાખવામાં આવી છે, તેની બિલકુલ નજીક જ આ ખોદાણ કરવામાં આવ્યું છે. ગમે ત્યારે તે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ છે. આ કામગીરીનાં કારણે અડધો રસ્તો રોકાઈ જતા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને રોગી કલ્યાણ સમિતિના રાજાભાઈ ચાવડા દ્વારા કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજનરાજકોટ મનપા દ્વારા શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 'લોક કલ્યાણ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂર્વ ઝોન કચેરી ખાતે યોજાયેલા મેળામાં 335 અરજદારોએ લાભ લીધો હતો. જેમાં 11 બેંકોના સહયોગથી 270 લોન અરજીઓ અને 7 ક્રેડિટ કાર્ડ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ સફળતા બાદ, આજે પશ્ચિમ ઝોન કચેરી ખાતે સવારે 10:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન મેળાનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં નવી લોન અરજીઓ ઓનલાઈન કરવાની સાથે બેંક લેવલે પેન્ડિંગ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતી. તેમજ, ફેરિયાઓને ડિજિટલ પેમેન્ટ અને કેશબેક અંગે સમજણ આપવામાં આવી હતી. રાજકોટનાં રબારિકામાં રેશનિંગ દુકાનદારનો પરવાનો સસ્પેન્ડ કરી દેતા પૂરવઠા અધિકારીરાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ કડક પગલું લઇ જિલ્લાનાં રબારિકા ગામના રેશનિંગ દુકાનદારનો પરવાનો સસ્પેન્ડ કરી દીધો છે. આ અંગે પુરવઠા અધિકારીએ જણાવ્યું કે રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનાં રબારિકા ગામે રેશનિંગ દુકાનદાર તરીકે નિયુક્ત વારસંકિયા લક્ષ્મીબેન, રામજીભાઇની દુકાનમાં તાજેતરમાં પુરવઠા નિરીક્ષકોએ કરેલી તપાસ દરમિયાન ઘઉં, ચોખા, ખાંડ, તેલ વગેરેનાં જથ્થામાં કુલ 6 હજાર કિલોની ઘટ જણાઇ હતી. આથી તંત્રએ આ જથ્થો સિઝ કરી દીધો હતો. આ દરમિયાન આ કેસ પુરવઠા અધિકારી સમક્ષ ચાલી જતાં તેઓએ આ પરવાનેદારનો પરવાનો સસ્પેન્ડ કરી દીધો છે. દુકાનદારનાં જથ્થામાં ઘટ ઉપરાંત વેપારીની અન્ય અનિયમિતતાઓ પણ બહાર આવી હોવાથી આ કડક પગલું લેવામાં આવ્યું હતું.
કેન્દ્રીય બજેટ 2026-27 પૂર્વે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે પ્રિ-બજેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્કશોપમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ અને આર્થિક નિષ્ણાતોએ પ્રેઝન્ટેશન દ્વારા છેલ્લા 11 વર્ષમાં થયેલા આર્થિક સુધારાઓની વિસ્તૃત છણાવટ કરી. ભારત વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યુંઆ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે ‘પોલિસી પેરાલિસિસ’માંથી બહાર આવી ‘પોલિસી પરફોર્મન્સ’ના યુગમાં પ્રવેશી ગયો છે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ઇકોનોમી ફેલ્યોર, પોલિસી પેરાલિસિસ અને પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના કારણે દેશનો વિકાસ અટકી ગયો હતો, જ્યારે આજે ભારત વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારત 63માં ક્રમાંકે પહોંચ્યુંવિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, 2014માં વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા રહેલું ભારત આજે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ ભારત 142માં ક્રમાંકેથી 63માં ક્રમાંકે પહોંચ્યું છે. રિયુઝ, રીડ્યુસ અને રિસાયકલ જેવી નીતિઓથી વિકાસમાં નવા પરિવર્તનો સર્જાયા છે. છેલ્લા દસ વર્ષમાં ટેક્સ પેયર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારોવર્કશોપમાં આઈસીએઆઈના પૂર્વ અધ્યક્ષ અનિકેતભાઈ તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞ બિરેનભાઈ વકિલે પ્રેઝન્ટેશન દ્વારા ટેક્સ સુધારાઓ, જી.એસ.ટી., આઈબીસી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, પી.એલ.આઈ. સ્કીમ અને ગીફ્ટ સિટીના વિકાસ સહિતના વિષયો પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ટેક્સ પેયર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે અને કોરોના બાદ ફિસ્કલ ડેફિસિટ 9 ટકાથી ઘટીને 4.4 ટકા સુધી આવી છે, જે દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે. પશુપાલકો અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયોવિશ્વકર્માએ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે થયેલી પહેલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પશુપાલકો અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ તેમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રિય બજેટના પ્રજાલક્ષી નિર્ણયોની સાચી માહિતી જનતા સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું. આ પ્રિ-બજેટ વર્કશોપમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, ધારાસભ્યો, ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ, આર્થિક નિષ્ણાતો અને ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દેવલપાડામાં જુગાર રમતા પાંચ ઝડપાયા:એલસીબીએ રૂ. 17,100 રોકડા અને પત્તા જપ્ત કર્યા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કાર્યવાહી કરી છે. આહવા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવલપાડામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 17,100 રોકડા અને ગંજીપાના જપ્ત કર્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા પ્રોહીબિશન, જુગાર અને એન.ડી.પી.એસ. જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક વોચ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને, ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન PSI જે.જી. અનડકટને અંગત બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દેવલપાડા મેઇન રોડ ઉપર કેટલાક ઈસમો જાહેરમાં પૈસા-પાનાં વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે LCB ટીમે પંચો સાથે સ્થળ પર પહોંચી કોર્ડન કરી રેઇડ કરી હતી. રેડ દરમિયાન દેવલપાડા મેઇન રોડ પર ઓટલા પર પાંચ ઈસમો ગંજી પતાના પાનાં અને રોકડા રૂપિયાં સાથે તીનપત્તી રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં નિલેશભાઈ મહેન્દ્રભાઈ લાવરે (ઉ.વ. 35), પરેશભાઈ ઉર્ફે ભાઉ મોહનભાઈ રાઉત (ઉ.વ. 36), અનીલભાઈ પ્રવીણભાઈ મોહર (ઉ.વ. 28), મોયુદીન ઉર્ફે કાલુ મહમદ શેખ (ઉ.વ. 51) તથા હમીદભાઈ ઉર્ફે ભુરે વાહીદભાઈ શાહ (ઉ.વ. 38) નો સમાવેશ થાય છે. આ તમામ આહવા વિસ્તારના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹17,100 રોકડા અને 52 ગંજી પતાના પાનાં જપ્ત કર્યા છે. આ સફળ કામગીરીમાં PSI જે.જી. અનડકટ સહિત LCB ના અધિકારીઓ અને કર્મચારીઓ જેવા કે ASI રણજીતભાઈ પવાર, HC લક્ષ્મણભાઈ ગવળી, HC દિલીપભાઈ ગામીત, PC હિનયભાઈ ગાઈન, PC દિનેશભાઈ વાઘેરા અને WPC ગંગુબેન ભોયેનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
ઉમરગામમાં મતદાર યાદીમાંથી નામ કમી!:ગ્રામજનોનો વિરોધ, કલેક્ટર કચેરીએ રજૂઆત કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક ગામમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કમી કરવાની કાર્યવાહી સામે વિવાદ સર્જાયો છે. અંદાજે 300થી 400 જેટલા નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વર્ષ 2002ની મતદાર યાદીના આધારે નવી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા હેઠળ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જરૂરી તમામ આધાર-પુરાવા સાથેના ફોર્મ Booth Level Officer (BLO)ને સમયસર સુપરત કરવામાં આવ્યા હતા. તેમ છતાં, ગામના સેંકડો લોકો કાયમી સ્થળાંતર કરી ગયા છે અથવા ગેરહાજર છે તેવા આધારવિહોણા કારણોસર તેમના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે ન્યાય મેળવવા ગ્રામજનોએ સૌપ્રથમ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ ઉમરગામ પોલીસ મથકે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પોલીસના માર્ગદર્શન મુજબ, ગ્રામજનો વલસાડ કલેક્ટર કચેરી તેમજ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પણ લેખિત ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે, આટલી મોટી સંખ્યામાં લોકોના નામ સામે વાંધો ઉઠાવનાર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમણે જણાવ્યું કે, ખોટા દસ્તાવેજો રજૂ કરીને લોકશાહીના મૂળભૂત અધિકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ થયો છે. ગ્રામજનોએ માગ કરી છે કે ખોટી વાંધા અરજી કરનાર સામે સઘન તપાસ કરી BNS (ભારતીય ન્યાય સંહિતા)ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
પાટણ નગરપાલિકા દ્વારા રેલવે ગરનાળા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક ગેરકાયદેસર લોખંડની કેબિનમાંથી દારૂની બોટલો, દેશી દારૂની કોથળીઓ અને ઓનલાઈન પેમેન્ટ માટેનું PhonePe મશીન મળી આવ્યું હતું. આ કેબિન વી.કે. ભુલા સ્કૂલ પાછળ, હોસ્પિટલ નજીક, જાહેર શૌચાલય પાસે મૂકવામાં આવી હતી. પાલિકાની ટીમે તેને જાહેર માર્ગમાં અવરોધરૂપ હોવાથી હટાવવાની કાર્યવાહી કરી. તપાસ કરતા કેબિનમાંથી 100 ml ઇંગ્લિશ દારૂની બોટલ, દેશી દારૂની કોથળીઓ, કાચના ગ્લાસ, પ્લાસ્ટિકનું આઈસ બોક્સ અને અગરબત્તી જેવી વસ્તુઓ મળી આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેબિનમાંથી PhonePeનું એક મશીન પણ મળી આવ્યું હતું, જેના પર 'વિક્રમ ઠાકોર' નામ લખેલું હતું. જોકે, સ્થળ પર કેબિનનો કોઈ માલિક હાજર મળ્યો નહોતો અને આસપાસના લોકોએ પણ આ કેબિન અંગે કોઈ માહિતી આપી નહોતી. આ ઉપરાંત, સ્થાનિક હોસ્પિટલ દ્વારા રસ્તા પર બનાવવામાં આવેલા ઢાળ અને GEBની ગ્રીલ સહિતની અન્ય નડતરરૂપ વસ્તુઓ પણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી નાગરિકોની અવરજવર માટે રસ્તો સરળ બન્યો છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર અને નાગરિકોને તકલીફ પડે તેવા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કેબિનમાંથી મળી આવેલી વાંધાજનક વસ્તુઓ અને PhonePe મશીન સહિતનો તમામ મુદ્દામાલ નગરપાલિકાએ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને સોંપવામાં આવશે.
ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે તેમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ બે વર્ષની સાદી કેદ અને ચેકની બમણી રકમનો દંડ કર્યો છે. આ કેસ ગોલ્ડના વ્યવહાર સંબંધિત હતો. આરોપી મુકેશ ચોકસીએ ફરિયાદીને રૂ. 6 લાખનો ચેક આપ્યો હતો, જે એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો. ફરિયાદી વતી એડવોકેટ ચંદ્રકાંત ચાલીસ હજારવાળાએ કોર્ટમાં દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે આરોપી પક્ષ કોઈ પુરાવો રજૂ કરી શક્યો ન હતો. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, જો દંડની રકમ ભરવામાં ન આવે તો આરોપીને વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ કેસમાં અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો, નવી યોજનાઓ અને જનસુખાકારી વધારવાના મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બજેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયરો તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોએ હાજરી આપી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ મનપાના હોદ્દેદારો પાસે માહિતી માગીબેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં છેલ્લા સમયગાળામાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સાથે સાથે આવનાર સમયમાં હાથ ધરવાના વિકાસલક્ષી આયોજનો અંગે પણ મનપાના હોદ્દેદારો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. મૂળભૂત સુવિધાની કામગીરીમાં બેદરકારી ન દાખવવા સૂચનાનાયબ મુખ્યમંત્રીએ મેયરો પાસેથી નવી યોજનાઓ, ચાલતા વિકાસ કામો અને નાગરિક સુવિધાઓ વધારવા બાબતે અહેવાલ માંગ્યો હતો. ખાસ કરીને રોડ-રસ્તા, પાણી પુરવઠો અને ગટર લાઇન જેવી મૂળભૂત સુવિધાઓની કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં જનસુખાકારી સાથે સુવિધાઓ વધે તે દિશામાં સંકલિત આયોજન અને અસરકારક અમલ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનામાં આશ્રમશાળાના ટ્રસ્ટી અને રસોઈ બનાવનાર મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રસોડામાં બોલાવી કેફી પીણુ પીવડાવ્યુંઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ,સાતથી આઠ દિવસ અગાઉ આશ્રમશાળાની અન્ય વિદ્યાર્થિનીઓ સફાઈના કામમાં રોકાયેલી હતી. ત્યારે આશ્રમશાળામાં રસોઇ બનાવતા સોનલબેને એક 15 વર્ષીય સગીરાને કામના બહાને રસોડામાં બોલાવી હતી અને તેને નશીલું પીણું પીવડાવ્યું હતું, જેના કારણે સગીરા બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગઈ હતી. ટ્રસ્ટી સગીરાને પોતાના રૂમમાં લઈ ગયોઆ સ્થિતિનો લાભ લઈને આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ અને ટ્રસ્ટી પ્રફુલ નાયક સગીરાને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે સગીરાની અચેતન સ્થિતિનો લાભ ઉઠાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પીડિત સગીરાના પરિવારજનોને થતાં તેઓ આદિવાસી સમાજના આગેવાનો સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીઆહવા પોલીસે આરોપી પ્રફુલ નાયક અને તેને મદદ કરનાર સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પ્રફુલ નાયકની ધરપકડ કરી છે અને સોનલબેનની ધરપકડ કરવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે પીડિત સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. એટ્રોસિટીની કલમ પણ એડ કરાઇ: SPઆ અંગે ડાંગ એસ.પી. પૂજા યાદવે જણાવ્યું કે, ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમના માતા દ્વારા આપવામાં આવી છે, એમાં ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી દ્વારા જ બાળકી ઉપર રેપ કરવામાં આવ્યો છે. જેમાં BNSની કલમ 64, 65 અને 123 મુજબ અને એટ્રોસિટીની કલમ પણ એમાં એડ કરવામાં આવી છે. 'બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલું'એસ.પી. પૂજા યાદવે વધુમાં જણાવ્યું કે, પોલીસે તાત્કાલિક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલું છે. આ કેસની તપાસ હાલ dy.sp SC ST સેલ પાસે છે. આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી કાર્યવાહી કરવામાં આવશે. આશ્રમશાળામાં બીજા કોઈ સાથે પણ આવો બનાવ બન્યો છે કે નહીં એની પણ તાપસ કરવામાં આવશે.
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વત પાટીયા વિસ્તારમાં આવેલા એલ.એ. સીટાડેલ કોમ્પલેક્ષના ઓફિસ નંબર 207 માં 'EPIC FINANCIAL SERVICE' ના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને 5,000 થી લઈને 5,00,000 સુધીની લોન કોઈપણ ઇન્કમ પ્રુફ વગર અપાવવાની લાલચ આપતા હતા અને બદલામાં પ્રોસેસિંગ ફી વસૂલી લોન આપ્યા વગર છેતરપિંડી આચરતા હતા. આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી. આરોપીઓ જુલાઈ 2025 થી આ ઓફિસ ચલાવી રહ્યા હતા. તેઓ સૌ પ્રથમ સોશિયલ મીડિયા પર Meta Ads (Facebook/Instagram) દ્વારા લોન માટેની જાહેરાતો ચલાવતા હતા. આ જાહેરાત જોઈ જે લોકો સંપર્ક કરે, તેમનો ડેટા ટેલીકોલરોને આપવામાં આવતો હતો. ટેલિકોલરો ગ્રાહકોને 24 થી 48 કલાકમાં લોન મળી જશે તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટ મંગાવતા હતા. પ્રોસેસિંગ ફી પેટે 799 અને તાત્કાલિક લોન માટે 999 ની રકમ QR કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી હતી. અંતે, ગ્રાહકોને 'સીબિલ સ્કોર' ઓછો હોવાનું બહાનું બતાવી લોન આપવાની મનાઈ કરી દેતા હતા. આ રીતે તેઓએ 10,00,000 થી વધુની રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રવિણ અને નમન ચૌહાણ મુખ્ય આરોપીઆ ગુનામાં બે શખસોની સંડોવણી સામે આવી છે. જેમાં અટક કરાયેલા આરોપી પ્રવિણ કેશુભાઇ ચૌહાણ છે, જેની ઉંમર માત્ર 19 વર્ષ છે. પ્રવિણ 12 પાસ છે અને લોન કન્સલટન્સીનો વ્યવસાય કરતો હતો. તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અગતરીયા ગામનો વતની છે અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. જ્યારે બીજો આરોપી નમન મનસુખભાઇ ચૌહાણ હાલ પોલીસ પકડથી દૂર એટલે કે નાસતો ફરતો છે. આ સમગ્ર નેટવર્ક 'CHAUHAN BROTHERS FINANCIAL SERVICE' ના નામે પણ ચલાવવામાં આવતું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલ અને પોલીસ કાર્યવાહીપોલીસે રેડ દરમિયાન કુલ 55,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 25,000 ની કિંમતના 3 મોબાઈલ ફોન, 30,000 ની કિંમતનું 1 લેપટોપ, ગ્રાહકોની વિગતો વાળી 37 નોટબુક, 1 હાજરી બુક, 14 સીમકાર્ડ કવર અને 5 ચાલુ સીમકાર્ડ સહિતના દસ્તાવેજો કબજે લીધા છે. સાયબર ક્રાઈમ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અને નાસતા ફરતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં મોટા ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટર માટેની ‘આત્માનિર્ભર ગુજરાત-2022ના હેઠળ રાજ્યના ત્રણ મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર એનાયત કરવાની મંજૂરી આપવામાં આવી છે. રૂ. 1371 કરોડના રોકાણને મંજૂરીઆ બેઠકમાં કુલ રૂ.1371કરોડનું મૂડીરોકાણ ધરાવતા 3મોટા ઉદ્યોગોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. જિલ્લાવાર અને સેક્ટરવાર રોકાણની વાત કરીએ તો, ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ.491.28 કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. 402.08 કરોડ, તથા વડોદરા જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં રૂ. 478.02 કરોડના મૂડીરોકાણને પ્રોત્સાહક સહાય માટે મંજૂરી મળી છે. આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ સક્ષમ બનાવવામાં અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી વધારવામાં પાયાની ભૂમિકા ભજવશે. ઉદ્યોગોનો પ્રોત્સાહન આપવા IFP હેઠળ ઓનલાઈન મોડ્યુલનો અમલરાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે IFP (Investor Facilitation Portal) હેઠળ ઓનલાઇન મોડ્યુલનો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહે છે, જેથી કોઈ પણ હાર્ડકોપીની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, સરકારના 'ફીઝીકલ ટચ પોઈન્ટ' નિવારવાના અભિગમને કારણે અરજીઓનો નિકાલ અત્યંત ઝડપી અને પારદર્શી બન્યો છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટરની આ અરજીઓ પર 2મહિનાથી પણ ઓછા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા એકમોને નેટ એસ.જી.એસ.ટી. (Net SGST), વ્યાજ સહાય અને ઇ.પી.એફ (EPF) રીએમ્બર્સમેન્ટ જેવા લાભો મળવાપાત્ર થશે. ટેક્સટાઈલના 11 એક્મો મા્ટે રૂ. 202 કરોડની સહાય મંજૂરરાજ્યના ટેક્ષટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ સમિતિની છઠ્ઠી બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ‘ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત કરવા માટેની સહાય યોજના-2019 હેઠળ કુલ 11 નવા એકમોને વ્યાજ સહાય અને પાવર ટેરીફ સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં રૂ. 668.34 કરોડનું નવું મૂડીરોકાણ આવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. ઉલ્લેખનીય છે કે, આ મંજૂર થયેલા એકમોને આગામી 5 વર્ષમાં સરકાર દ્વારા અંદાજે રૂ.202 કરોડ જેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જે ગુજરાતના ટેક્ષટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્પર્ધામાં વધુ સક્ષમ બનાવશે. આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અપૂર્વ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજિટલ યુગમાં વધી રહેલી નાણાકીય છેતરપિંડી રોકવા માટે બજાજ ફાયનાન્સ લિમિટેડ દ્વારા મહેસાણામાં ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને ઓનલાઇન સુરક્ષા અને સાયબર જોખમો સામે રક્ષણ મેળવવાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આરબીઆઈની માર્ગદર્શિકા સાથે સુસંગત પહેલ આ જાગૃતિ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024માં જારી કરાયેલ ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા વધારીને ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત બનાવવાનો છે. ખાસ કરીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ગ્રૂપ્સ અને જાણીતી કંપનીઓના નામે ચાલતી બોગસ વેબસાઇટ્સથી લોકોને સાવધ કરવામાં આવ્યા હતા.‘ગોલ્ડન અવર’નું મહત્વ અને સાયબર સુરક્ષાગાંધીનગર સાયબર સેલના પીએસઆઈ એચ.એલ. સરવૈયાએ જણાવ્યું હતું કે, કોઈપણ સાયબર છેતરપિંડી થાય ત્યારે પ્રથમ 60 મિનિટ એટલે કે ‘ગોલ્ડન અવર’ અત્યંત નિર્ણાયક છે. જો પીડિત વ્યક્તિ છેતરપિંડી થયાના 1 કલાકમાં 1930 હેલ્પલાઇન નંબર પર જાણ કરે, તો ગુમાવેલા નાણાં પરત મેળવવાની શક્યતા 90% વધી જાય છે. તેમણે ક્લિક કરતા પહેલા વિચારો સૂત્ર સાથે અજાણી લિંક્સ અને સંદેશાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી. નિષ્ણાતોનું માર્ગદર્શન અને સહભાગિતા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પીએસઆઈ એચ.વી. પટેલ, સાયબર સુરક્ષા નિષ્ણાત યશ કનાણી અને ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કમલેશ વી. એન. ઉપસ્થિત રહ્યા હતા. કડીની સીએન આર્ટ્સ એન્ડ બીડી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે પણ આ સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બજાજ ફાયનાન્સના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રાહકોની નાણાકીય સુરક્ષા તેમની પ્રાથમિકતા છે, જેના માટે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન સતત એડવાઈઝરી જારી કરે છે. સાયબર સુરક્ષા માટે અમલી સૂચનો કાર્યક્રમ દરમિયાન ડિજિટલ સુરક્ષા માટે નીચે મુજબની સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો: OTP કે PIN કોઈની પણ સાથે શેર ન કરવો. શંકાસ્પદ QR કોડ સ્કેન કરવાથી કે અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું. અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલી એપ ડાઉનલોડ ન કરવી. નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવો.
પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડે પાંચ વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના ગુનાના એક આરોપીને રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી 2019ના એક કેસમાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ શ્યામલાલ કાનરામ બિશ્નોઈ છે, જે જોધપુર જિલ્લાના તીવરી તાલુકાના ઝૂડ ગામનો રહેવાસી છે. તે બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2019ના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ એચ.એમ. જાડેજા અને તેમની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમના એ.એસ.આઈ. હરેશભાઈ સિસોદિયા, વજશીભાઈ વરૂ અને જેતમલભાઈ મોઢવાડિયાએ લાંબા ગામ પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે બગવદર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ સંદર્ભે, આજે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસને સંયુક્ત રીતે શહેરના મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ લુણાવાડા મહિલા પોલીસ ચોકીથી નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેઓ ચાર કોસિયા નાકા થઈ નંદન આર્કેડ સુધીના મુખ્ય માર્ગો પર ચાલીને ટ્રાફિકની ગીચતાના કારણો અને સુધારાની જરૂરિયાતવાળા સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. લુણાવાડા બસ સ્ટેશન ખાતે પાર્કિંગ સ્ટેન્ડનું પણ નિરીક્ષણ કરાયું હતું. એસટી બસોની અવરજવરમાં અડચણ ન થાય તે માટે જરૂરી સૂચનો અપાયા હતા. આ ઉપરાંત, અધિકારીઓના ધ્યાને આવેલી જર્જરિત ઇમારતો અંગે બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. મુખ્ય હાઈવેની આસપાસની ખુલ્લી ગટરો પર ઢાંકણ લગાવવા માટે પાલિકા તંત્રને સૂચના અપાઈ હતી. કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક નિયમન અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય લુણાવાડાના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ અપાવવાનો અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ નિરીક્ષણ દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, લુણાવાડા મામલતદાર, ડીવાયએસપી કમલેશ વસાવા, ડેપો મેનેજર અને નગરપાલિકાના કર્મચારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'સ્માર્ટ સિટી' સુરતનું હાર્દ ગણાતો વરાછા રોડ વિસ્તાર હાલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો છે. છેલ્લા નવ મહિનાથી ડ્રેનેજ લાઇનના કામને કારણે આખું વરાછા જાણે બાનમાં લેવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બરોડા પ્રિસ્ટેજ પાસેની નરકાગાર જેવી સ્થિતિને કારણે સ્થાનિકોનો રોષ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. ગોકળગાયની ગતિએ કામ અને ટ્રાફિકનો ત્રાસવરાછાના મુખ્ય માર્ગો પર ડ્રેનેજનું કામ છેલ્લા નવ મહિનાથી ચાલી રહ્યું છે પરંતુ, કામની ગતિ અત્યંત ધીમી હોવાથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. બરોડા પ્રિસ્ટેજ જેવા વ્યસ્ત વિસ્તારમાં ખોદકામને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. માર્કેટની ભીડ અને લારી-ગલ્લાના દબાણોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકજામમાં ફસાઈઆ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, ગંભીર દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલી રહે છે, જે કોઈ મોટી જાનહાનિને આમંત્રણ આપી રહી છે. ધૂળ અને રસ્તા બંધ હોવાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા નિયમિત ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે વરાછા સાથે 'ઓરમાયું વર્તન' કરવામાં આવે છે. નેતાઓની સૂચક ચુપકીદીસૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક કોર્પોરેટરો અને રાજકીય નેતાઓ આ ગંભીર સમસ્યાથી પૂરેપૂરા વાકેફ છે તેમછતાં જનતાની પીડા સાંભળવા માટે કોઈ નેતા આ વિસ્તારની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધાં લેતા નથી. લોકોમાં એવી ચર્ચા છે કે, વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કામ જાણી જોઈને લંબાવવામાં આવી રહ્યું છે. ઉગ્ર આંદોલન કરવાની ચીમકીવરાછાની જનતા હવે આકરા મૂડમાં છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજનું કામ યુદ્ધના ધોરણે પૂરું કરવામાં નહીં આવે અને ટ્રાફિકની સમસ્યા હલ નહીં થાય, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 2 કિમીની કામગીરી પૂરી જ નથી થતીઅરવિંદભાઈ વિરાણી (સ્થાનિક) એ જણાવ્યું હતું કે, વરાછા રોડની બહુ મોટી સમસ્યા છે પણ કોઈને કાને અથડાતી નથી. અધિકારીઓ હોય કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોઈ અહીંથી ચાલે છે પણ દેખાતું નથી. કેમેરામાં બધું દેખાય છે. વેરો ઉઘરાવવો હોય તો વ્યાજ સહિત લેવો છે, બે દિવસ મોડું થઈ જાય તો, પણ કામ કરવું નથી. આ નવ મહિનાથી કામ ચાલે છે વરાછા પોલીસ સ્ટેશનથી હીરાબાગ સુધીનું. પણ કોઈ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. 2 કિલોમીટરનું અંતર છે પણ હજી પૂરું થયું નથી. તંત્રને એમ કહીએ છીએ કે, અત્યારે 21મી સદીના એ બણગા ફૂંકે, ભાજપ આમ કરે ને ભાજપ તેમ કરે છે, એના જ બણગા ફૂંકતા આવડે છે અને આ જે સામાન્ય પ્રજા છે એની કોઈ પણ જાતની એની લાગણી ત્યાં પહોંચતી નથી.
ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત
Todays Gold And Silver Price Update : સોના અને ચાંદીની કિંમતમાં ગુરૂવારે રેકોર્ડ તેજી જોવા મળી છે. જેમાં સોનાની કિંમત 1.75 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ચુકી છે. બીજી તરફ ચાંદીની કિંમત 3.80 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ચુકી છે.
દેવુબાગમાં તસ્કરોનો આતંક:દેવનાથ મહાદેવ મંદિરમાં ચોરી તથા મંદિર આસપાસ 6 મકાનોમાં ખાતર પાડવાનો પ્રયાસ
શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિરને અજાણ્યા ચોરે નિશાન બનાવ્યું હતું તેમજ આ અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના દરવાજાનો આગળીયો તોડી મૂર્તિઓ પરના હારની ચોરી કરી છે, એટલું જ નહીં, આસપાસના 6 જેટલા રહેણાંક મકાનોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો, આ તમામ ચોરીનો ઘટનાક્રમ Cctv માં કેદ થયો હતો, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના દેવુબાગ સોસાયટીના પ્રમુખ જશપાલસિંહ ખોડુભા ગોહીલે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક ઈસમ ચોરી કરતો હોય એમ નજરે પડ્યો હતો, મંદિરના પુજારી દલપતપરી ગૌસ્વામી જ્યારે પૂજા માટે પહોંચ્યા ત્યારે તેમને મંદિરના મુખ્ય દરવાજાની જમણી બાજુનો આગળીયો તૂટેલો જોવા મળ્યો હતો, અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મંદિરની અંદર બિરાજમાન હનુમાનજી અને ગણપતિ દાદાની મૂર્તિ પર પહેરાવેલા અંદાજે રૂ.10 હજારની કિંમતના 2 મેટલના હાર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો, તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા, ચોરીની જાણ થતા સોસાયટીના અગ્રણીઓએ એકઠા થઈ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક અજાણ્યો ઈસમ મૂર્તિઓ પરથી હાર ચોરતો કેમેરામાં કેદ થયો હતો, અને મંદિરમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ સોસાયટીમાં જ રહેતા પીયુષભાઈ રાઠોડ, અબ્બાસભાઈ ભોજાણી, ભાયાભાઈ પટેલ, સબીરઅલી વરતેજી, મેંદીભાઇ વરતેજી અને પરવતસિંહ ગોહીલના મકાનોના આગળીયા તોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો જોકે, આ તમામ મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, આથી નીલમબાગ પોલીસે જશપાલસિંહ ગોહીલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે તારીખ 28-01-2024ના રોજ IDBI બેંકના CSR ફંડ હેઠળ અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતનું 'શિલર' કંપનીનું ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ (TMT) મશીન દાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે. આ અત્યાધુનિક મશીનનું ઉદ્ઘાટન હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષા બેન આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ જિતેન્દ્ર દર્શન, મેડિસિન વિભાગના વડા ડૉ. વિપુલ શ્રીવાસ્તવ, IDBI બેંક સુરતના જનરલ મેનેજર નાગા રેવથીકુમાર શ્રીપદા સહિતના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા હૃદયરોગના નિદાનમાં થશે મોટી મદદ આ મશીન દ્વારા ઇસ્કેમિયા અને હાર્ટ બ્લોક જેવી હૃદયની બીમારીઓનું સરળતાથી નિદાન થઈ શકશે. ખાસ કરીને જે દર્દીઓએ એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અથવા બાયપાસ સર્જરી કરાવી હોય, તેમના ફોલો-અપ ચેકઅપ માટે આ ટેસ્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે. મશીન દ્વારા દર્દીની આરામની સ્થિતિ અને વ્યાયામ (કસરત) દરમિયાન ECG રેકોર્ડ કરી હૃદયની કાર્યક્ષમતા તપાસવામાં આવે છે. સામાન્ય જનતાને આર્થિક રાહત સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં TMT ટેસ્ટ માટે 300 થી 2500 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. જોકે, સ્મીમેર હોસ્પિટલમાં હવે આ સુવિધા ખૂબ જ નજીવા દરે ઉપલબ્ધ થશે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મોટી રાહત મળશે.
વડોદરા શહેરમાં જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ 27 જાન્યુઆરીની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહંમદ હુસૈન ઝૂલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝીંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતા. આ ઘટનામાં મોહંમદ હુસૈન ઝુલ્ફીકારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાના આરોપી વિશાલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આજે હત્યાના બનાવ સ્થળે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શનમાં વિશાલે શબ્દશ: હત્યાનું વર્ણન કર્યુંપોલીસે આરોપી વિશાલ કહારને સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં હત્યાના બનાવ સ્થળ સુધી ચાલતો લઈ જવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી હથિયાર લાવનાર અને આરોપીના ઘર સુધી હત્યારા વિશાલને લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન મૃતકનો આ વિસ્તાર હોવાથી અહીંયા ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી લોકોને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન વિશાલ શબ્દશ: હત્યા અંગે વર્ણન કરતો જોવા મળ્યો હતો. આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન લંગડાતો જોવા મળ્યો હતો. શું છે સમગ્ર ઘટના?મૃતક યુવકના ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા. આરોપીના મૃતકની પત્ની સાથે આડા સંબંધો હતા અને આજ બાબતે મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. હત્યા કરી ફરાર વિશાલ કહારને પોલીસે રાત્રે જ ઝડપી પાડ્યો હતો. આ પણ વાંચો: યુવકે પત્નીના પૂર્વ પતિને સરાજાહેર છરીના ઘા ઝીંક્યા, VIDEO આ ઘટના સમયનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં દેખાઈ રહ્યું છે કે, આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણીગેટના મોહંમદ હુસૈન પર તૂટી પડ્યો હતો. પહેલો ઘા વાગતા જ યુવક નીચે પડી ગયો હતો. જે બાદ હુમલાખોરે છરાના ઉપરાછાપરી ઘા મારવાનું શરૂં કર્યું હતું. આ જોઈ ત્યાં આસપાસના લોકો ઇજાગ્રસ્તને બચાવવા દોડ્યા હતા અને હુમલાખોરને ખેંચીને લઈ જતા અને સાથે ઇજાગ્રસ્તને પણ અન્ય વ્યક્તિ લઈ જતો જોવા મળ્યો હતો. તે દરમિયાન આરોપીએ તેનો પગ ખેંચી ફરીથી છરા માર્યા હતા. આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર હત્યારાને ગણતીરના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ બે દિવસના રિમાન્ડ પર છે, ત્યારે પોલીસે આ હત્યા પાછળના મુખ્ય કારણ સહિત અનેક સવાલોના જવાબ માટે પૂછપરછ શરૂ કરી છે. આજે આરોપીને સાથે રાખી સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના ઝડપથી વિકસતા બોપલ અને શિલજ વિસ્તારામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શીલજ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગોડાઉન બનાવવા માટે રાખવામાં આવેલ ડોમ સ્ટ્રક્ચરનો સામાન કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારીએ તપાસ કરતા 4.24 લાખનો સામાન ચોરી થયો હોવાનું સામે આવ્યું છે. જેથી બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધંધાનો સામાન રાખવા માટે જગ્યા ઓછી પડતી હતીશીલજના કર્મજ્યોત બંગલોઝમાં રહેતા પરેશ પટેલ બોપલ, ઘુમા, શિલજ વિસ્તારમાં લાઇટિંગ, પાવર જનરેટર, એચવીએસી અને એર કન્ડીશનરનો વ્યવસાય કરે છે. વરદાયીની પાવર પ્રા. લિ. નામની કંપનીથી વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરેશ પટેલે પોતાના ધંધાના સામાનના સ્ટોરેજ માટે અગાઉથી શીલજ અને આસપાસના વિસ્તારોમાં ચાર જેટલા ગોડાઉન ભાડે રાખેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ધંધામાં વધારો થવાથી વધુ સામાન રાખવા માટે જગ્યા ઓછી પડતી હતી. ડોમનો સામાન ખરીદી ખુલ્લી જગ્યામાં મૂક્યો હતોઆ કારણોસર તેમણે શીલજ ગામની સીમમાં આવેલી અંદાજે 7623 ચોરસ મીટરની ખુલ્લી જગ્યા ભાડે રાખી હતી. આ જગ્યામાં તેમણે કાયમી ગોડાઉન બનાવવા બદલે તાત્કાલિક ઉપયોગ માટે ડોમ સ્ટ્રક્ચરનું ગોડાઉન ઊભું કરવાનું નક્કી કર્યું હતું. જેથી પરેશ પટેલે ગોધાવી સ્થિત બાપા સીતારામ ડેકોરેશન પાસેથી ડોમ સ્ટ્રક્ચરનો સામાન ખરીદ્યો હતો. જેમાં 20 લોખંડના પિલર, 80 મોટા રાફટર, 20 નાના રાફટર, 20 કેચી, 20 સેન્ટર કેચી સહિતનો મોટો જથ્થો ખરીદ્યો હતો. તમામ સામાન 25 જાન્યુઆરીના રોજ શિલજ ગામની સીમમાં આવેલી ભાડે લીધેલી ખુલ્લી જગ્યામાં ઉતારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ડોમ ઊભું કરી ગોડાઉનનું કામ શરૂ કરવાની તૈયારી હતી. 4.24 લાખનો સામાન ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યુંજોકે, 26 જાન્યુઆરીના રોજ પરેશ પટેલને તેમના કર્મચારીનો ફોન આવ્યો હતો કે ગોડાઉન બનાવવા માટે મૂકવામાં આવેલા સામાનમાંથી કેટલાક સામાન ગાયબ થયો છે. જેથી પરેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં તેમને ખ્યાલ આવ્યો કે, ડોમ સ્ટ્રક્ચર માટેનો મોટો જથ્થો કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારીએ તપાસ કરતા 4.24 લાખનો સામાન ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ખુલ્લી જગ્યામાં કોઈ ચોકીદાર કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી ચોરોએ આ તકનો લાભ લઈ રાત્રી દરમિયાન ચોરી કરી હતી. જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આપસાસના સીસીટીવીના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
હિંમતનગર તાલુકાના કૃષ્ણનગર (દેરોલ) ગામે નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. રાજ્ય સરકાર મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં માતા-શિશુ કલ્યાણ, બાળ પોષણ અને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ નવીન અને આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્ર શરૂ થવાથી વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ પહેલ ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસ પહોંચાડવાના રાજ્ય સરકારના અભિગમનો એક ભાગ છે. આ લોકાર્પણ પ્રસંગે તાલુકા મહામંત્રી ભગીરથસિંહ ઝાલા, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિનોદસિંહ ઝાલા, તાલુકા સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, આઈ.સી.ડી.એસ. મહેજબીન પઠાણ, ગ્રામ પંચાયતના સરપંચ યોગેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ પરમાર, જગતસિંહ પરમાર, નવલસિંહ ઝાલા, તખતસિંહ સહિત આંગણવાડી કાર્યકર્તા બહેનો હંસાબેન અને જોસનાબેન ગોસ્વામી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરમાં બાળ લગ્ન મુક્ત અભિયાન શરૂ:જાગૃતિ કાર્યક્રમમાં ‘બાળ લગ્ન મુક્ત રથ’નું પ્રસ્થાન કરાયું
પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પ્રયાસ સંસ્થાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ‘બાળ લગ્ન મુક્ત રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. બાળ સુરક્ષા- જવાબદારી આપણા સૌની ના સંદેશ સાથે, તેનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી સામાજિક બદીને નાબૂદ કરવાનો અને સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે થઈ હતી. મહાનુભાવોના હસ્તે ‘બાળ લગ્ન મુક્ત રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ પહેલા, શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સામૂહિક રીતે “બાળ લગ્ન મુક્ત ભારત પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ અને તેમની સુરક્ષા માટે સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે, સરકાર, સંસ્થાઓ અને નાગરિકો એકસાથે કાર્ય કરશે ત્યારે જ બાળ લગ્નને સંપૂર્ણપણે અટકાવી શકાશે. બનાસકાંઠા જિલ્લાને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે આ રથનું પ્રસ્થાન કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 27 નવેમ્બર, 2024ના રોજ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા આ અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. બાળકોના સ્વપ્નોને સાકાર કરવા, તેમના નિર્દોષ હાસ્ય અને બાળપણને સુરક્ષિત રાખવા માટે જનજાગૃતિ આવશ્યક છે. બાળકોના હાથમાં પુસ્તકો રહે અને વહેલી વયે સંસારની જવાબદારી તેમના પર ન મુકાય તે જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, શિક્ષણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ છે. બાળ લગ્ન જેવી કુરિવાજ સામે લડવા માટે સૌએ જવાબદારીપૂર્વક આગળ આવવું જરૂરી છે. તેમણે હમ બચ્ચો ને થાના હે, બાળ વિવાહ મીટાના હે ના સંકલ્પ સાથે જણાવ્યું કે, સમાજમાં વધતી જાગૃતિને કારણે બાળ લગ્ન જેવી કુરિવાજ ધીમે ધીમે નાબૂદ થઈ રહી છે. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને વકીલોએ સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લઈ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાં વન્યજીવો અને ખાસ કરીને સિંહોની અવરજવર હવે દિન-પ્રતિદિન વધી રહી છે. હજુ બે દિવસ પહેલા જ બિલખા રોડ પર સિંહણે શિકાર કર્યો હતો, ત્યાં ફરી એકવાર શહેરની 'કામદાર સોસાયટી' વિસ્તારમાં ત્રણ સિંહનો પરિવાર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. જોકે, આ વખતે સિંહોને શિકાર કરવામાં સફળતા મળી ન હતી અને પશુઓના પ્રતિકાર સામે સિંહોએ મેદાન છોડવું પડ્યું હતું. કામદાર સોસાયટીમાં પશુઓએ સિંહોને ભગાડ્યા28 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢની કામદાર સોસાયટીમાં ત્રણ સિંહ શિકાર માટે ત્રાટક્યા હતા. સિંહોએ સોસાયટીમાં રહેલાં બે પશુને નિશાન બનાવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. પરંતુ, આ ઘટનામાં પશુઓએ અદભૂત હિંમત બતાવી હતી. પશુઓએ ડર્યા વગર સિંહોનો સામનો કર્યો હતો, જેનાથી અચાનક ડરી ગયેલા ત્રણેય સિંહ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સતત બીજા દિવસે સિંહો દેખાતા રહીશોમાં ભયબે દિવસ પહેલા જ બિલખા રોડ નજીક આવેલી રાજીવ નગર સોસાયટીમાં એક સિંહણે પશુનું મારણ કરી મિજબાની માણી હતી. તે ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા, જેમાં સિંહણ ભરચક સોસાયટી વચ્ચે શિકાર કરતી જોવા મળી હતી. સતત બીજા દિવસે શહેરના અલગ વિસ્તારમાં સિંહો દેખાતા લોકો હવે રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. (બિલખા રોડ પર રાજીવનગર સોસાયટીમાં સિંહણે ગાયનો શિકાર કર્યો) ગિરનારના સિંહો હવે માનવ વસાહત તરફ2025ની વસ્તી ગણતરી મુજબ ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરે છે. સિંહોની સંખ્યામાં થયેલા વધારા અને જંગલ વિસ્તારની મર્યાદાને કારણે હવે સિંહો ખોરાકની શોધમાં ડુંગરપુર, વિજાપુર, પ્લાસવા અને બિલખા રોડ જેવા રેવન્યુ વિસ્તારોમાં વારંવાર આવી ચઢે છે. વન વિભાગ દ્વારા સિંહોને ટ્રેક કરી જંગલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ સિંહો ફરીથી રહેણાંક વિસ્તારોમાં પરત ફરે છે. સોસાયટીઓમાં સિંહોના ધામાને લઈ વન વિભાગ એલર્ટવન વિભાગે સ્થાનિક રહીશોને રાત્રિના સમયે સતર્ક રહેવા અને પશુધનની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા અપીલ કરી છે. રહેણાંક સોસાયટીઓમાં સિંહોના ધામાને કારણે હવે વન વિભાગ વધુ સઘન પેટ્રોલિંગ કરે તેવી માગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે જાનહાનિ ટાળી શકાય.
પાટડીના બજાણા પાસે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ:108ની ટીમે માતા-પુત્રીનો જીવ બચાવ્યો, બંને સુરક્ષિત
પાટડી તાલુકાના બજાણા ગામ નજીક 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા વાપરીને એમ્બ્યુલન્સમાં જ એક સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાવી છે. આ ઘટનામાં માતા અને નવજાત બાળકી બંનેનો જીવ બચાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જૈનાબાદ ગામની એક સગર્ભા મહિલા પાટડી તાલુકાના બજાણા ગામની સીમમાં ખેતમજૂરી કરતી હતી. તેમને રાત્રિના સમયે અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. પીડા ઉપડતા જ માલવણ 108 એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓ મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે, બજાણા ગામ નજીક પહોંચતા જ પ્રસૂતાને પીડા વધુ તીવ્ર બની હતી, જેના કારણે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સંજોગોમાં, 108 ટીમના ઈએમટી ચમન પરમાર અને પાયલોટ રાજેશભાઈ ખાંભલાએ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરની ટેલિફોનિક સલાહ લીધી હતી. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની મદદથી તેમણે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી, જેમાં એક દીકરીનો જન્મ થયો. હાલ માતા અને નવજાત પુત્રી બંને સુરક્ષિત છે. તેમને વધુ સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ શૈક્ષણિક જગતમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પ્રોફેસરને ભારત સરકાર તરફથી પેટન્ટ એનાયત કરવામાં આવી છે. સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વીરેન્દ્ર સિંહને તેમના સંશોધન મોડ્યુલર કોલાબોરેટિવ વર્કસ્ટેશન માટે આ પેટન્ટ પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે, ડૉ. સિંહ અગાઉ 2015 થી 2019 દરમિયાન ભારત સરકાર તરફથી 4 કોપીરાઈટ પણ મેળવી ચૂક્યા છે. શું છે આ મોડ્યુલર કોલાબોરેટિવ વર્કસ્ટેશન? આ નવીનતમ વર્કસ્ટેશન એક અત્યંત લવચીક સિસ્ટમ છે, જેમાં વિનિમય કરી શકાય તેવા વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ વ્યક્તિગત કામ અને ગ્રુપ ટીમવર્ક બંનેને ધ્યાનમાં રાખીને સરળતાથી પુનઃરૂપરેખાંકિત કરી શકાય છે. બદલાતી જરૂરિયાતો, મર્યાદિત જગ્યા અને કાર્ય કરવાની શૈલી મુજબ તેને ઝડપથી અનુકૂલિત કરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની સરળ એસેમ્બલી અને ડિસએસેમ્બલી સુવિધાને કારણે ઓફિસ કે કાર્યસ્થળમાં સંદેશાવ્યવહાર વધુ સરળ અને અસરકારક બને છે. ભારતીય પરંપરા અને આધુનિકતાનો સમન્વય ડૉ. વીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ ઇનોવેશન ભારતની સામૂહિક પરંપરાઓ અને સામાજિક-આર્થિક વિવિધતા સાથે સીધું જોડાયેલું છે. ભારતની વર્ષો જૂની આંગણા, ચોક અને પંચાયત જેવી વહેંચાયેલ જગ્યાઓની સંસ્કૃતિ આ વર્કસ્ટેશનમાં પ્રતિબિંબિત થાય છે. તે આપણે મારા પહેલાં (We before I) ની ભારતીય માનસિકતાને પ્રોત્સાહન આપે છે, જ્યાં એકલતાને બદલે એકતા અને સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયાને મહત્વ આપવામાં આવે છે. વૈશ્વિક ઓળખ અને શૈક્ષણિક મહત્વ ભારતીય કાર્યસ્થળોમાં અલગ-અલગ પેઢીઓ અને ભાષાના લોકો સાથે કામ કરતા હોય છે, ત્યારે આ વર્કસ્ટેશન દરેકના આરામ અને કાર્યશૈલી મુજબ અનુકૂળ રહે છે. ભારતની ગુરુ-શિષ્ય પરંપરા અને જ્ઞાનના આદાન-પ્રદાનની રીતને આ આધુનિક સ્વરૂપમાં વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરી ભારતના IT હબ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે આ નવીનતા નવી ઓળખ સમાન છે. આ સંશોધન દ્વારા કાર્યસ્થળો હવે માત્ર ઓફિસ ન રહેતા, સાંસ્કૃતિક રીતે પ્રતિભાવશીલ જગ્યાઓમાં પરિવર્તિત થશે, જે ભારતના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ બનશે.
હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ગામે આજે આંગણવાડી અને ગ્રામ્ય માર્ગના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે આ સુવિધાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ માતા-બાળ કલ્યાણ, પોષણ, શિક્ષણ અને ગ્રામ્ય માળખાકીય વિકાસને મજબૂત બનાવવા માટે નવીન સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાદેવપુરા ગામે નિર્મિત નવી આંગણવાડી ગ્રામ્ય વિસ્તારના બાળકો અને માતાઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્રરૂપ સાબિત થશે. સરકાર ગામડાં સુધી વિકાસ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, પાયાની સુવિધાઓ મજબૂત બનશે તો ગ્રામ્ય જીવનસ્તર ઊંચું આવશે. આનાથી 'સબળ ગામ – સમૃદ્ધ તાલુકો – વિકસિત ગુજરાત'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદ મળશે. આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, સરપંચ દક્ષાબેન પટેલ, સી.ડી.પી.ઓ. આનંદીબેન પટેલ, અલકાબેન પટેલ, હરિભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, વિનોદભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ RTO માં CPR તાલીમ કેમ્પ યોજાયો:સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જીવન રક્ષાત્મક માર્ગદર્શન અપાયું
ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ RTO ખાતે જીવન રક્ષાત્મક CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થવું અથવા અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં RTOના 60થી વધુ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત લોકોને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા CPR આપીને દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે વિગતવાર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો સાથેની આ તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો. આ કાર્યક્રમમાં ARTO પંકજ પઢિયાર, વર્ષાબેન, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી,રશ્મી કંસારા, કનકભાઈ અને ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલીમ દરમિયાન, ઉપસ્થિત તમામે વિકટ પરિસ્થિતિમાં માનવજીવન બચાવવાના પ્રયાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભાવનગર જિલ્લામાં ઘટતા જતા સ્ત્રી જન્મદરને નિયંત્રિત કરવા અને 'બેટી બચાવો' અભિયાનને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના તમામ રજિસ્ટર્ડ ડાયગ્નોસ્ટિક ક્લિનિક્સ માટે CCTV કેમેરા ફરજિયાત બનાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશનો મુખ્ય હેતુ ગર્ભ પરીક્ષણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે. ત્રણ મહિના સુધી ડેટા સાચવવો ફરજિયાત નવા નિયમ મુજબ, PC PNDT એક્ટ હેઠળ નોંધાયેલા તમામ ક્લિનિક્સમાં CCTV કેમેરા લગાવવા પડશે. માત્ર કેમેરા લગાવવાથી કામ પૂરું નહીં થાય, પરંતુ ક્લિનિક સંચાલકોએ આ ફૂટેજનો રેકોર્ડ (ડેટા) સતત 3 મહિના સુધી સુરક્ષિત રાખવો પડશે. જિલ્લા એડવાઈઝરી કમિટીની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતની દરખાસ્તને આધારે આ નિર્ણય લેવાયો છે. નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163(1) હેઠળ આ આદેશ જારી કરાયો છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસ સુધી અમલમાં રહેશે. જો કોઈ ક્લિનિક આ નિયમનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવાની સત્તા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપવામાં આવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 'કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય યોજના' અંતર્ગત તાલીમ કેન્દ્રનો પ્રારંભ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે. મંત્રીએ નૂતન ભારતની પ્રગતિ માટે કૃષિ અને ટેકનોલોજીના સમન્વયને અનિવાર્ય ગણાવ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા રાસાયણિક ખેતીને કારણે વધતા કેન્સર જેવા રોગો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આજે ખેડૂતો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ખેતી ક્ષેત્રે મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું અને 'ડ્રોન દીદી' તથા 'લખપતિ દીદી' જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉપસ્થિત મહિલા કૃષિકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, આ તાલીમ કેન્દ્ર યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા 'એગ્રીપ્રેન્યોર' બનાવશે. આ તકે મહાનુભાવોના હસ્તે મહિલા ખેડૂતોના યોગદાન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે NCCSDના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. કિરીટ શેલત, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. કે. બી. કથીરિયા અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ નિષ્ણાતોએ એગ્રી-બિઝનેસમાં રહેલી વિપુલ તકોનો લાભ લઈ યુવાનો સ્વરોજગારી મેળવી શકે છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. ડૉ. એ. આર. પાઠક, સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ, NCCSD ના સેક્રેટરી સતીષ છાયા અને AERC ના ડાયરેક્ટર ડૉ. એસ. એસ. કલમકર સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સહભાગી થયા હતા.
ગોધરામાં બે બંધ મકાનોના તાળા તૂટ્યા:તસ્કરોએ શ્રી હરિ સોસાયટીમાંથી રૂ. 1.85 લાખની મતા ચોરી
ગોધરા શહેરના સાપા રોડ પર આવેલી શ્રી હરિ સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. રાત્રિના સમયે થયેલી આ ચોરીમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 1.85 લાખની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ સોસાયટીમાં રહેતા બે રહીશોના બંધ મકાનોના મુખ્ય દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટના રાત્રિના સમયે બની હતી. ફરિયાદી ઉજવલ રવિન્દ્રના મકાનમાંથી આશરે રૂ. 56,000ની મતાની ચોરી થઈ છે. જ્યારે પંકજ માછીના મકાનમાંથી તસ્કરો અંદાજે રૂ. 1.29 લાખની રોકડ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. આ ઘટના અંગે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.79 લાખ દર્દીઓને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. હોસ્પિટલના તાજેતરના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી છે, જે દર્શાવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નોંધપાત્ર લાભ મળ્યો છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. આશિષ ખરાડીએ જણાવ્યું હતું કે, અહીં 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. ગત વર્ષ દરમિયાન 25,658 દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ 7,559 ઓપરેશન્સ થયા, જેમાં 2,746 મેજર અને 4,813 માઇનોર સર્જરીનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં દૈનિક 900 થી વધુ દર્દીઓની ઓ.પી.ડી. તપાસ કરવામાં આવે છે. તેમાંથી 22,845 ગંભીર દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. નિદાનની સુવિધાઓમાં પણ હોસ્પિટલ અગ્રેસર રહી છે. ગત વર્ષે 6.20 લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ અને 69 હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા હતા. ગાયનેક વિભાગમાં 2,964 મહિલાઓની સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજના હેઠળ 10 હજારથી વધુ લાભાર્થીઓએ આ હોસ્પિટલમાં સારવાર મેળવી છે. હોસ્પિટલની ક્ષમતામાં વધારો થતાં હાલ 36 આઈ.સી.યુ. બેડ સહિત 400 થી વધુ ઇન્ડોર બેડની સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓની સુવિધા માટે તાજેતરમાં ન્યુરોસર્જન, કાર્ડિયોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ જેવી સુપર સ્પેશિયાલિટી સેવાઓ પણ શરૂ કરાઈ છે, જેનાથી સ્થાનિક સ્તરે જ જટિલ રોગોનું નિદાન શક્ય બન્યું છે.
બોટાદ શહેરની યોગીરાજ વિદ્યા સંકુલ ખાતે તાજેતરમાં ‘ટ્રાફિક જાગૃતિ અભિયાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક પોલીસે સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક શાખાના PSI બી.વી.ચૌધરી અને તેમનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા PSI ચૌધરીએ વર્તમાન સમયમાં વધતા જતા રોડ અકસ્માતો અને તેના કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને ફોર-વ્હીલર ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવો એ માત્ર કાયદો જ નહીં, પરંતુ સુરક્ષા કવચ પણ છે તેમ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લાયસન્સ વિના વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે. તેથી, વિદ્યાર્થીઓને 18 વર્ષની ઉંમર પહેલાં વાહન ન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યલો અને ગ્રીન લાઈટનો અર્થ અને ઝીબ્રા ક્રોસિંગના ઉપયોગ વિશે પણ સમજણ આપવામાં આવી હતી. ટુ-વ્હીલર પર ત્રણ સવારી બેસીને જવું જોખમી અને કાયદા વિરુદ્ધ છે તે અંગે પણ ટકોર કરવામાં આવી હતી. PSI બી.વી.ચૌધરીએ વિદ્યાર્થીઓને માત્ર શ્રોતા બનવાને બદલે ‘ટ્રાફિક એમ્બેસેડર’ બનવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઘરે જઈને પોતાના વાલીઓ અને સગા-સંબંધીઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે યોગીરાજ વિદ્યા સંકુલના સંચાલકો અને આચાર્ય દ્વારા બોટાદ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં આવા કાર્યક્રમો યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘોઘારોડ વિસ્તારમાંથી રૂ.33,600 કિંમતની 336 બોટલો મળી આવી છે. આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીઆ અંગે પેરોલ સ્કવોડ કચેરીથી મળતી માહિતી મુજબ, 28 જાન્યુઆરીના ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે, ઘોઘારોડ શીતળામાતા મંદિર સામે ચાઇના સોસાયટી શેરીમાં રહેતા સંજય ધનજીભાઈ સરવૈયા બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવ્યાં છે. જે દારૂ તેણે તેના રહેણાંક મકાની સામે આવેલી અવાવરુ ઓરડીમાં સંતાડ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરીપોલિસ સ્ટાફે તુરંત સ્થળે ઝઈ તપાસ કરતા સંજય સરવૈયા હાજર મળી આવ્યો નહીં. તેની કબજાની અવાવરૂ ઓરડીમાંથી ROYAL'S SPECIAL PREMIUM WHISKY 180 MLની બોટલો 336 નંગ, કિ.રૂ.33,600નો ઇગ્લીંશ દારૂના જથ્થો મળી આવ્યો હતો. તેના વિરુદ્ધ ભાવનગર શહેર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી શખસને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં આવતા શ્રદ્ધાલુઓને શિવગીરી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસે શિવગીરીની અટકાયત કરી ઘરની તલાશી લેતા 50 થી વધુ હથિયારો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા શિવગીરી સામે ભવિષ્યમાં તડીપારની પણ કાર્યવાહી થઈ શકે છે. થોડા સમય પહેલા જ શિવગીરી દ્વારા કરાયેલા એક હુમલાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. સાધુના વેશમાં આતંક મચાવતા હોવાની ફરિયાદો ઉઠી હતીશિવગીરી નામનો આ શખ્સ પોતાને નાગા સાધુ તરીકે ઓળખાવતો હતો, પરંતુ તેની હરકતો અસામાજિક તત્વો જેવી હતી. તે ભવનાથ ક્ષેત્રમાં આવતા નિર્દોષ ભાવિકોને ગમે ત્યારે નગ્ન હાલતમાં ડરાવતો અને ધમકાવતો હતો. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે પૂરપાટ ઝડપે કાર લઈને આવે છે અને નગ્ન અવસ્થામાં ઉતરીને એક યાત્રિક પર લાકડી વડે તૂટી પડે છે. આ શખ્સ સાધુતાની મર્યાદા ઓળંગી લોકોને માર મારતો હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. દબાણ હટાવતા મળી આવ્યો હથિયારોનો મોટો જથ્થોપ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે મેળામાં અવરોધરૂપ તમામ દબાણો દૂર કરવાની સૂચના મુજબ શિવગીરીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ હતી. આ ડિમોલિશન દરમિયાન તેના આશ્રમમાંથી અંદાજે 50 થી 60 જેટલા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. જેમાં તલવાર, ભાલા, ધારિયા, કુહાડી, છરા અને ગદા જેવા જોખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં હથિયારો રાખવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને તમામ હથિયારો જપ્ત કરી શિવગીરીની અટકાયત કરી લેવામાં આવી છે. ભૂતકાળમાં મહિલા પીઠાધીશ્વર પર જીવલેણ હુમલો કર્યો હતોશિવગીરીનો ગુનાહિત ઇતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2023માં 7 ફેબ્રુઆરીના રોજ તેણે ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. માતાજી જ્યારે ભવનાથ મંદિર પાછળના વિસ્તારમાંથી પગપાળા પસાર થતા હતા, ત્યારે પાછળથી આવીને શિવગીરીએ તેમના પેટના ભાગે ઘા માર્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા માતાજીને લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તે સમયે પોલીસે હત્યાની કોશિશ (કલમ 307) હેઠળ તેની ધરપકડ કરી હતી અને તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. શિવગીરીને તડીપાર કરવાની કાર્યવાહી થઈ શકેવહીવટી તંત્ર હવે આ શખ્સ સામે નરમ વલણ દાખવવાના મૂડમાં નથી. પ્રાંત અધિકારીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો પોલીસ વિભાગ તરફથી દરખાસ્ત મળશે, તો શિવગીરીને જિલ્લામાંથી તડીપાર કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સાધુઓના નામે રોફ જમાવતા અને શ્રદ્ધાળુઓમાં ભય ફેલાવતા આવા તત્વો સામેની આ કાર્યવાહીથી ભવનાથના સ્થાનિક સાધુ-સંતો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટતી હોય છે, ત્યારે યાત્રિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં તેવું તંત્રએ સાબિત કરી દીધું છે. હાલ પોલીસ શિવગીરીના ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જામનગર હાઈવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢીયા પુલના નવનિર્માણ આડે લાંબા સમયથી ચાલી રહેલું વિઘ્ન અંતે દૂર થયું છે. રેલવે ટ્રેક ઉપર ગર્ડર ચડાવવા માટેની અંતિમ મંજૂરી રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવતા હવે બ્રિજની કામગીરીમાં તેજી આવશે. તંત્ર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે માર્ચ-2026 સુધીમાં આ ફોરલેન ફ્લાય ઓવરનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ત્યારે ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા હજારો વાહન ચાલકોને રાહત મળશે. અને જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે. જામનગર રોડથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ દાયકાઓ જૂના સાંઢીયા પુલની હાલત અતિ જર્જરિત અને અસલામત જાહેર કરવામાં આવી હતી. આથી, સુરક્ષાના કારણોસર જૂના પુલને તોડી તેની જગ્યાએ રૂ. 75 કરોડના ખર્ચે નવા આધુનિક ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જામનગર રોડ પરનો એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો સહિતનો તમામ ભારે ટ્રાફિક 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે. અને નાગરિકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે. બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ અને પિલરનું કામ તો ઘણો સમય પહેલા પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રેલવે ટ્રેકની બરાબર ઉપર આવતા સેન્ટ્રલ પોર્શનમાં ગર્ડર ગોઠવવા માટે રેલવેની ટેકનિકલ મંજૂરી લેવી અનિવાર્ય હતી. આ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે તમામ અવરોધો દૂર થયા છે. અને રેલવે વિભાગે ગર્ડર ચડાવવા માટે 'બ્લોક' લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રેનોની અવરજવરને અસર ન થાય તે રીતે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સિટી ઈજનેર અતુલ રાવલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગર્ડર ચડાવવાની પ્રક્રિયા માટે સામાન્ય રીતે સતત 4 કલાકનો બ્લોક જરૂરી હોય છે, પરંતુ રેલવે ટ્રેક પર ટ્રેનોની વ્યસ્તતાને જોતા રેલવે વિભાગે 4 કલાકનો સળંગ બ્લોક આપવા અસમર્થતા દર્શાવી હતી. તેના બદલે મનપાએ 2-2 કલાકના બે અલગ બ્લોકની માંગણી કરી છે. જે મુજબ, પ્રથમ દિવસે 2 કલાકના સમયગાળામાં અડધી કામગીરી અને બીજા દિવસે બાકીના 2 કલાકમાં ગર્ડર ગોઠવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે રેલવે વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં બ્લોકનો ચોક્કસ સમય ફાળવવામાં આવશે, જે બાદ ગર્ડર ચડાવવાનું જટિલ કામ શરૂ કરી દેવાશે. નોંધનીય છે કે, રાજકોટમાં જૂનો બ્રિજ તોડીને નવો બનાવવાનો આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ કામગીરી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જૂના પુલને તોડવા માટે રેલવેની કડક શરતો વચ્ચે ડાયમંડ કટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બ્રિજની ડિઝાઇનમાં પણ ટેકનિકલ કારણોસર ફેરફાર કરવા પડ્યા હતા, જેના કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા લંબાઈ હતી. પરંતુ હવે જ્યારે અંતિમ મંજૂરી મળી ગઈ છે, ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે બાકીનું કામ પૂરું કરવા સજ્જ થયું છે. માર્ચ મહિના સુધીમાં આ બ્રિજ કાર્યરત થતા જામનગર રોડ અને રૈયા રોડ પરનો ટ્રાફિક હળવો થશે અને લોકોને કાયમી ધોરણે સુવિધા મળશે.
માલણપુરમાં દાડમના ખેતરમાંથી 13 ઘેટાં ચોરાયા:રૂ. 52,000ની કિંમતના ઘેટાં ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
માલણપુર ગામની સીમમાં આવેલા એક દાડમના ખેતરમાંથી રૂ. 52,000ની કિંમતના 13 ઘેટાંની ચોરી થઈ છે. આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્રજવાણી ગામના પશુપાલક ખેતાભાઈ રતનાભાઈ મકવાણા તેમના પરિવાર સાથે માલણપુર ગામે લક્ષ્મણભાઈ નાડોદા રાજપૂતના દાડમના ખેતરમાં લગભગ એક હજાર ઘેટાં ચરાવવા આવ્યા હતા. તેઓ રાત્રિના સમયે ખેતરમાં જ સૂઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે જ્યારે તેઓ ઘેટાં દોહવા માટે જાગ્યા, ત્યારે તેમને 13 ઘેટાં ગાયબ જણાયા. આસપાસના ખેતરો અને માલણપુર ગામમાં તપાસ કરવા છતાં સફેદ રંગના આ ઘેટાંનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ખેતાભાઈ મકવાણાએ જણાવ્યું કે, એક ઘેટાની કિંમત રૂ. 4,000 લેખે કુલ 13 ઘેટાની કિંમત રૂ. 52,000 થાય છે. કોઈ અજાણ્યો ચોર ઈસમ આ ઘેટાં ચોરી કરીને લઈ ગયો હોવાનું તેમને લાગી રહ્યું છે. આ ઘટના અંગે ખેતાભાઈ મકવાણાએ પાટડી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના એસ.વી. કલોત્રા ચલાવી રહ્યા છે.
રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા તેને ચીફ જજની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જો કે તે અપીલ અરજી પણ વિલંબથી ફાઇલ થઈ હતી. જેમાં પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત થયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેને અંગ્રેજી નથી આવડતું. જેથી કોર્ટ ઓથોરિટીએ તેને પોતાનો કેસ જાતે રજૂ કરવા પરવાનગી નથી આપી. હાઈકોર્ટ અંગ્રેજીમાં હુકમ કરશે જેમાં તમને ખબર નહીં પડેચીફ જજે અરજદારને સમજાવ્યા હતા કે, કોર્ટની કાર્યવાહીમાં તમને નુકશાન ના થાય તેના માટે આ નિર્ણય લેવાયો છે. કોર્ટમાં કાયદાકીય ભાષા ચાલે છે, ભાષણબાજી નહિ. હાઈકોર્ટ તમને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશે તે તમને નહીં આવડે અને ગુજરાતી હાઈકોર્ટને નથી આવડતું. હાઈકોર્ટ અંગ્રેજીમાં હુકમ કરશે જેથી તમને ખબર નહીં પડે કે તમારા કેસમાં શું થયું! તમારો કેસ તમે જાતે રજૂ નહીં કરી શકોસામેના પક્ષકારોના વકીલ પણ અંગ્રેજીમાં રજૂઆત કરશે. તમે પ્રોસિડીંગ સમજી નહીં શકો, આ સામાન્ય વાતચીતની ભાષા નહીં આ કાયદાકીય ભાષા હોય છે. વળી તમે માત્ર ધોરણ 10 સુધી ભણેલા છો, એટલે તમારો કેસ તમે જાતે રજૂ નહીં કરી શકો. આ કોઈ ભાષણનો મંચ નથી. તમને વસ્તુઓને કાયદાકીય રીતે સમજતા આવવડવી જોઈએ. તમે કાયદો ભણ્યા નથી. સુનવણીમાં કોર્ટનો સમયનો બગાડ થાયતમારા કેસની સુનવણીમાં કોર્ટનો સમયનો બગાડ થાય તેમ છે. તમે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં અરજી કરો કે તમારી પાસે પૈસા નથી તમને વકીલ આપે. કોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત થવાનો અધિકાર હોતો નથી, તે સંમતિ આપવી કે કેમ તે કોર્ટનો નિર્ણય હોય છે. 'કાયદા સિવાય અહીં કોઈ વાત નહીં ચાલે'અરજદારે જણાવ્યું હતું કે, અગાઉ તેને સાંભળવામાં આવ્યો હતો. પહેલા તે એડવોકેટ રાખતો હતો પણ તેઓ તેની વાતને ન્યાય નહોતા આપતા. જિલ્લા અદાલતમાં અને સિવિલ કેસમાં તેઓ જાતે જ કેસ રજૂ કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તમે કેશ નહીં ચલાવી શકો, કાયદા સિવાય અહીં કોઈ વાત નહીં ચાલે. આ જિલ્લા કે સિવિલ કોર્ટ નથી. આ હાઇકોર્ટ છે, આ સાથે જ હાઇકોર્ટે અરજદારની અરજી રદ્દ કરી હતી.
હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચેના 55.672 કિલોમીટર લાંબા નવનિર્મિત બ્રોડગેજ રેલખંડનું 25 કેવી એ.સી. વિદ્યુતીકરણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE) શ્રી રજનીશ કુમાર ગોયલ દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે વિદ્યુત એન્જિનોના સંચાલન હેતુ અધિકૃત કરવામાં આવ્યો છે. આ રેલખંડ સાબરકાંઠા વિસ્તારની એક સદી કરતાં વધુ સમયથી જીવનરેખા સમાન હતો. હિંમતનગર-ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર 01 જાન્યુઆરી, 2017થી રેલ યાતાયાત બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, 2 જૂન, 2022ના રોજ ₹482 કરોડના ખર્ચે આ ગેજ પરિવર્તન પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. પ્રધાનમંત્રી દ્વારા 18 જૂન, 2022ના રોજ આ ગેજ પરિવર્તનનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ખંડ પર ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), ટ્રેક્શન સબ-સ્ટેશન, સેક્શનિંગ અને પેરેલલિંગ પોસ્ટ, બોન્ડિંગ અને અર્થિંગ વ્યવસ્થા તથા સિગ્નલિંગ અને દૂરસંચાર પ્રણાલીઓ સહિતના તમામ તકનીકી કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. 08 જાન્યુઆરી, 2026ના રોજ ઇલેક્ટ્રિક લોકોનો સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. PCEE તથા અમદાવાદ મંડળ અને નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ પછી રેલવે નિયમોના પ્રાવધાનો હેઠળ આ ખંડને વિદ્યુત સંચાલન હેતુ મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન OHE, વિદ્યુત આપૂર્તિ વ્યવસ્થા, ટર્નઆઉટ, ક્રોસઓવર તથા અન્ય સુરક્ષા અને સંરક્ષણ પ્રણાલીઓની કાર્યક્ષમતા યોગ્ય જણાઈ હતી. આ વિદ્યુતીકરણથી ઇંધણની બચત, પર્યાવરણ સંરક્ષણ, માલ ઢુલાઈ ક્ષમતામાં વધારો, યાત્રી ગાડીઓની વધુ સારી ગતિ તથા સંચાલન ખર્ચમાં ઘટાડો જેવા મહત્વપૂર્ણ લાભ મળશે. આ પ્રોજેક્ટ વિસ્તારમાં સુરક્ષિત, કુશળ અને હરિત રેલ પરિવહનને પ્રોત્સાહન આપશે, જેનાથી યાત્રીઓને વધુ સારી સેવા અને માલ પરિવહનને ગતિ મળશે.
જામનગરના વતની અને સેટેલાઇટ વિસ્તારમાં રહીને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 35 વર્ષીય આનંદ પરમાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. કાર ભાડે લેવાના બહાને મોટી છેતરપિંડી કરવામાં આવી છે. વેલ રાઇડર્સ એપ મારફતે મારૂતિ સુઝુકી આર્ટિગા કાર ભાડે લઈ ગ્રાહક ગાડી પરત કર્યા વિના ફરાર થઈ ગયો છે. ગાડીનું વધારાનું ભાડું અને મૂળ કિંમત મળીને કુલ 12.60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીએ સમીર હુસૈન મહંમદ હનીદ મલેકના ઘરે જઈને તપાસ કરતા ઘર બંધ હોવાનું સામે આવ્યું હતું. ફોન પણ બંધ આવતા આખરે ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 12.60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કાર-બાઈક ભાડે આપવાનો ધંધો કરે છેજામનગરના વતની અને સેટેલાઇટ વિસ્તારમાં રહીને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 35 વર્ષીય આનંદ પરમાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આનંદ પરમાર કાર અને બાઇક ભાડા પેટે આપવાનો ધંધો કરે છે. મહિના પહેલા આનંદના મિત્ર ધવલ ચાવડાએ મારૂતિ સુઝુકીની આર્ટિગા ગાડી ગ્રાહકોને ભાડે આપવા માટે આપી હતી. એક જાન્યુઆરીએ સમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે ગાડી ભાડે લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને ફતેહવાડી ઓફિસમાં કામ કરતા પિયુષ ટાંક સાથે ગાડી ભાડે લેવા માટે વાતચીત કરી હતી. ગાડી વધુ સમય રાખવા ઓફિસે ફોન કર્યોજે બાદ સમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે પોતાના મોબાઈલમાં વેલ રાઇડર્સ એપ ડાઉનલોડ કરીને 3 જાન્યુઆરી માટે રાત્રે 9 વાગ્યા સુધી ગાડી બુક કરાવી હતી. તેને બુકિંગના 7041 રૂપિયા ઓનલાઈન ચૂકવી 5000 રૂપિયા ડિપોઝિટ પણ આપી હતી. જેથી પેમેન્ટ થયા બાદ લાઇસન્સ અને આધાર કાર્ડ અપલોડ કરવાની પ્રોસેસ પણ કરવામાં આવી હતી. જે બાદ તેને આનંદના મિત્ર ધવલ ચાવડાની ગાડીની ચાવી આપવામાં આવી હતી. નક્કી કરેલી તારીખે સમીર હુસૈન મહંમદ હનીદ મલેક ગાડી લઈને નીકળી ગયો હતો, જે બાદ તેને ચાર વાગ્યે ગાડી વધારે સમય રાખવા માટે ઓફિસમાં ફોન કર્યો હતો. ઓનલાઈન જ સમય વધારવાની માટે કહેવામાં આવ્યું હતું. ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેતાં ફોન બંધ કરી દીધોસમીર હુસૈન મહંમદ હનીદ મલેક નામના ગ્રાહકે વેલ રાઇડર્સ એપથી 5 જાન્યુઆરી 12 વાગ્યા સુધીનું બુકિંગ કરાવી વધારાની 5839 રૂપિયા રકમ ઓનલાઈન ભરી દીધી હતી. તે બાદ પણ સમીર હુસૈન મહંમદ હનીદ મલેકે ફરીથી એપ પર જઈને સમય એક્સ્ટેન્શન માટેનું ફોર્મ ભરીને 6 જાન્યુઆરી 6 વાગ્યા સુધીનો સમય ભરીને ઓનલાઈન 1586 રૂપિયાની ચૂકવણી કરી હતી. નક્કી કરેલો સમય પૂર્ણ થયા બાદ ફરીથી સમીર હુસૈન મહંમદ હનીદ મલેકે તારીખ એક્સ્ટેન્શન કરવા માટે આનંદની ઓફિસમાં ફોર્મ કર્યો હતો. ઓફિસના સ્ટાફ ઓનલાઈન જ ફોર્મ ભરી દેવાનું કહેતા તેને ફોન બંધ કરી દીધો હતો. કાર પરત ન કરતા પોલીસ ફરિયાદસમીર હુસૈન મહંમદ હનીદ મલેક એક જાન્યુઆરીએ ગાડી લઇ ગયો તે બાદ આજદિન સુધી ગાડી પરત કરી નહીં. તેમજ ગાડીનું જે વધારાનું ભાડું ચડી ગયું હોત તે 65000 રૂપિયા પણ આજદિન સુધી આપ્યા નહીં. જેથી આનંદ પરમારે સમીર હુસૈન મહંમદ હનીદ મલેકના ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ પર જઈને તપાસ કરી તો ઘર બંધ હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનેક વખત ફરિયાદીએ તેના નંબર પર ફોન કર્યા પરંતુ ફોન પણ બંધ આવતા આખરે ફરિયાદીએ કંટાળી સમીર હુસૈન મહંમદ હનીદ મલેક સામે 12.60 લાખની છેતરપિંડીની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી. દેસાઈ દ્વારા 1200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્કૂલ બોર્ડના સભ્યોની દરખાસ્ત અને સહયોગથી તેમાં 5 કરોડના વધારા સાથે કુલ 1205 કરોડનું વર્ષ 2026-27 માટેનું પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષ કરતા 50 કરોડના વધારા સાથે AMC સ્કૂલબોર્ડનું સુધારા સાથેનું 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. AMC સ્કૂલબોર્ડની શાળાના વિદ્યાર્થીઓને AIનું શિક્ષણ આપવા માટે એક કરોડ અને આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયાર કરવા માટે 10 કરોડ ફાળવ્યા છે. 50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું વર્ષ 2026-27નું શતાબ્દી બજેટ વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રાયમરી એજ્યુકેશન ફંડના 1250 કરોડના અંદાજપત્રમાં 86.67 ટકા એટલે કે 1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ 10.90 ટકા એટલે કે 131.29 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 2.44 ટકા એટલે કે 29.39 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે 1155 કરોડના બજેટ સામે આ વર્ષે 50 કરોડના વધારા સાથે 1205 કરોડની બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 54 નવી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવીસ્કૂલ બોર્ડના શિક્ષણ સાથે બાળકોને સ્કિલ ડેવલોપમેન્ટ, રમત ગમત, કલા, સંગીત, વક્તવ્ય, સેલ્ફ ડિફેન્સ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ તેમજ વિદ્યાર્થી સ્વાવલંબી બને તેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડમાં 453 શાળાઓમાં 1,72,576 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ અમદાવાદની 204 સ્માર્ટ શાળાઓમાં 1,35,857 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી હવે 54 નવી શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત 28 શાળાઓમાં 255 નવા ઓરડા અને 22 શાળાઓમાં 306 ઓરડાનું રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં 36 જેટલી નવી શાળાઓ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારતને વેગ આપે તે માટે કૌશલ્ય વર્ધન વર્ગો શરૂદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાઈ હતી. જેના પરિણામ સ્વરૂપે હાલમાં 100 ટકા કન્યાઓનું નામાંકન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ બેટી પઢાવો, બેટી બચાવો ઝુંબેશ સમગ્ર દેશમાં ચાલુ કરવામાં આવી છે. ગુણવત્તાલક્ષી, સુવિધા યુક્ત અને ટેકનોલોજી યુક્ત શિક્ષણની સાથે કન્યાઓને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે ભરત ગુંથણ, હાથવણાટ, ઝરીકામ, કાગળ કામ અને રો મટીરીયલ લક્ષી વિવિધ ગૃહ સજાવટની વસ્તુઓ તેમજ ટેપ અને રોબોટિક્સ લેબની મદદથી વિવિધ સેન્ટરથી વર્કિંગ મોડેલ બનાવે અને સ્વનિર્ભર બની આત્મનિર્ભર ભારતને વેગ આપે તે માટે કૌશલ્ય વર્ધન વર્ગો શરૂ કરવામાં આવશે. એક કરોડના ખર્ચે ટેક્નોલોજી આધારિત ડિજિટલ શિક્ષણ આપવામાં આવશેઆર્ટીફિશિયલ ઈન્ટલિજન્સી (AI)આધુનિક જમાનાની માંગ છે. તેનાથી કઠિન શૈક્ષણિક સંકલ્પનાઓ સરળતાથી સમજી શકાય છે તેમજ દ્રશ્ય માધ્યમથી જોઈ શકાય છે. Al Education દ્વારા મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને AI laboratory, શૈક્ષણિક સોફટવેર, શૈક્ષણિક અધ્યયન નિષ્પતિઓ આધારિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તાનું મેપિંગ, વિવિધ શૈક્ષણિક વિષયો AIની મદદથી સરળતાથી શીખવી શકાય તેમ હોઈ તેમજ વિદ્યાર્થીઓને જમાનાની સાથે કદમથી કદમ મિલાવી શકે તે હેતુથી એક કરોડ ખર્ચે ટેકનોલોજી આધારિત, ડિજિટલ શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે કોચિંગ આપવા 10 કરોડ ફાળવ્યાવિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ કરવા માટે રમતગમત એ એક મહત્વનું ક્ષેત્ર છે. મ્યુનિસિપલની શાળામાં બાળકોને ખેલો ઈન્ડિયા, ખેલ મહાકુંભ સ્કૂલ બોર્ડ દ્વારા આયોજીત રમતોત્સવ તથા વિવિધ રમત- ગમત એસોસિએશન સાથે મળી બાળકો માટેની રમતગમતની હરિફાઇનું આયોજન કરવામાં આવશે. હરિફાઈના અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને રમતગમત માટેની જરૂરી સાધન-સામગ્રી આપવામાં આવશે તેમજ રમતગમત માટેના મેદાનો ડેવલોપ કરી વિદ્યાર્થીઓને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવા માટે કોચિંગ આપવા 10 કરોડની ફાળવવામાં આવ્યા છે. કન્યા કેળવણી ઉત્તેજન અને શાળા પ્રવેશોત્સવ માટે 22 કરોડ ફાળવવામાં આવ્યા છે. મીની લાયબ્રેરી ડેવલોપ કરવા માટે 10 કરોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં બાલવાટિકાથી ધો. 8 સુધીનું પ્રારંભિક શિક્ષણ માત્રને માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હોય અને ધો. 6થી 8માં વાર્ષિક પરિણામમાં સરેરાશ 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે મુજબની આવક મર્યાદા ધરાવતા તેમજ ધોરણ-12 પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાએથી લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટમાં ઉર્તીણ થયેલા પૈકી જે વિદ્યાર્થીઓએ ભારતની UGC માન્ય સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર સંસ્થાઓમાં સ્નાતકના અભ્યાસ માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે પ્રવેશ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. જે માટે 10 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક દાણા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને તેમાં ચાર શ્રમિકોના કરુણ મોતની ઘટના બાદ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 19 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેકટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે. ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ફાયર NOC વગર ગેરકાયદેસર રીતે ચલાવવા બદલ કાર્યવાહી કરાઈ છે. શું હતી સમગ્ર ઘટના?ગત 19 જાન્યુઆરી, 2026ના રોજ ઉધના રોડ નંબર 3 પર આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત 'RMS પ્લાસ્ટ' નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં રહેલું ક્રશર મશીન અચાનક ઓવરહીટિંગના કારણે ફાટ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા પાંચ શ્રમિકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન પાંચ પૈકી ચાર શ્રમિકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક શ્રમિક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસ તપાસમાં માલિકોની ભયંકર બેદરકારી ઉઘાડી પડીઆ મામલે ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેષ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. તપાસમાં ખુલ્યું કે આ ફેક્ટરી છેલ્લા દોઢ થી બે વર્ષથી કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર વિભાગની એન.ઓ.સી. (NOC) વગર ધમધમતી હતી. એટલું જ નહીં, ફેક્ટરીના માલિકોએ ત્યાં કામ કરતા ગરીબ શ્રમિકોને કોઈ પણ પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કે સેફ્ટી કીટ પૂરી પાડી નહોતી. જોખમી મશીનરી પાસે કોઈ પણ સુરક્ષા વગર કામ કરાવવું એ સીધો માનવ વધ સમાન બેદરકારી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. મેમણ બંધુઓની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહીશ્રમિકોના મોતના મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મોહમદ હુસેન રફીકભાઇ મેમણ (ઉં.વ. 37), મોહમદ અબ્દુલ કાદીર રફીકભાઇ મેમણ (ઉં.વ. 35) શામેલ છે. આ બંને ભાઈઓ ભાઠેના વિસ્તારની અમન સોસાયટીમાં રહે છે. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને માલિકો જાણી જોઈને શ્રમિકોના જીવ જોખમમાં મૂકીને માત્ર નફા માટે એકમ ચલાવી રહ્યા હતા. તેમની પાસે ફેક્ટરી ચલાવવા માટેના જરૂરી લાયસન્સ હતા કે નહીં તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જરૂરી લાયસન્સ વગર જ ફેક્ટરી ચાલતી હતીઃ PIપીઆઈ શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 19 તારીખે, ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાઠેના વિસ્તારમાં RMS પ્લાસ્ટર નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ શ્રમિકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, RMS પ્લાસ્ટરના માલિકો ફાયર એન.ઓ.સી. અથવા ફેક્ટરીના નિયમો મુજબ જરૂરી લાયસન્સ વગર જ આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ ચાલુ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી છેલ્લા દોઢથી બે વર્ષથી કાર્યરત હતી. હાલ તપાસ ચાલુ છે.
વડોદરાના નેશનલ હાઈવે-48 પર નંદેસરી પોલીસ મથક હદમાં ફરી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટિયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્તઆ ટક્કર એટલી ભયાનક હતી કે, દુકાનની બાજુના રુમની દીવાલ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેલર ચાલકને પણ ઈજાઓ થતા તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા. ટ્રેલર ધમાકા સાથે અહીં ઘૂસી ગયું ઘટનાસ્થળે હાજર રહેલા વિનોદકુમારે જણાવ્યું હતું કે, અમે કામ માટે અહીં આવ્યા હતા અને રૂમમાં સૂતા હતા. અહીં સાત લોકો હતા. અચાનક ટ્રેલર ધમાકા સાથે અહીં ઘૂસી ગયું અને બધું નીચે પડી ગયું. અમે ભાગ્યા, પરંતુ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં ખસેડ્યા છે. ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી નંદેસરી પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈ-વે 48 પર વધતા ટ્રાફિક અને રોંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે આ અંગે વધુ તપાસ કરી ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી રહી છે.
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો છે. આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન, પ્રથમ સારવાર, બાળ સુરક્ષા, 108 ઇમરજન્સી સેવા અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું, આપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવો અને ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું. આ દ્વારા તેમને વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું. આ સપ્તાહના કાર્યક્રમોમાં ફાયર વિભાગ, 108 ઇ.એમ.આર.આઈ., ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, એનજીઓ તથા અન્ય સંબંધિત વિભાગો સહયોગ આપી રહ્યા છે. આ સંસ્થાઓ દ્વારા મોક ડ્રિલ, ડેમોન્સ્ટ્રેશન, પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની 75થી વધુ શાળાઓમાં આવા પ્રતિકાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સંકટ સમયે સમજદારીપૂર્વક વર્તવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ છે. આ પહેલ શાળાઓમાં સુરક્ષિત અને સજાગ વાતાવરણ નિર્માણ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં સંબંધિત વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં SIR પ્રક્રિયાના બહાને સંગઠિત રીતે ફોર્મ નંબર 7 ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારતીય ચૂંટણી પંચના CEO ગુજરાતને રૂબરૂ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. GPCC પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં થયેલી આ રજૂઆતમાં પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યો ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, પૂંજા વંશ, પ્રદેશ પ્રવક્તા ડૉ. અમિત નાયક, ઉપપ્રમુખ દશરથ તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસ વર્ગના મતદારોને ટાર્ગેટ કરાયાનો આક્ષેપકોંગ્રેસના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે ગુજરાતની વિવિધ વિધાનસભાઓમાં ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ફોર્મ નંબર-7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચોક્કસ વર્ગ તથા સમુદાયના મતદારોને ટાર્ગેટ કરીને નામ કાપવાની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, ગુજરાતને ગૌરવ અપાવનાર પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત વિભૂતિઓના નામ પણ મલિન ઈરાદા સાથે યાદીમાંથી કાઢવાની કોશિશ થઈ હોવાના પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા. ચૂંટણીપંચને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલકોંગ્રેસે આ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદાકીય પગલાં લઈ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. સાથે SIR પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને પ્રામાણિક રીતે થાય તેવો વિશ્વાસ લોકમાનસમાં સ્થાપિત કરવા ચૂંટણીપંચને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. આ રજૂઆત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, સચિવાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.
રાજ્યમાં નાગરિકોની સલામતી માટે કાર્યરત ‘112’ ઇમરજન્સી સેવાની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સાથે ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સેવાની ટેકનોલોજી, માનવ સંસાધન અને કામગીરીની દર મહિને સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરાયેલ ‘112’ ઇમરજન્સી નંબર આજે પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એકમાત્ર ‘સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ’ તરીકે અસરકારક રીતે કાર્યરત છે. મુલાકાત દરમિયાન ડૉ. રાવે કોલ એટેન્ડ કરવાની પ્રક્રિયા, ઇમરજન્સી કોલની કેટેગરીઝ અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની પોલીસ વાહનવ્યવસ્થા કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. રોજ સરેરાશ 12,000થી વધુ કોલ્સનો નિકાલરાજ્યભરમાં છેલ્લા ચાર મહિનામાં ‘112’ ઇમરજન્સી સેવા હેઠળ કુલ 3,82,728 ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યા છે. દરરોજ સરેરાશ 12,000થી વધુ કોલ્સનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી 2026માં ઇમરજન્સી કેસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો હોવાનું પણ સમીક્ષા દરમિયાન બહાર આવ્યું હતું. રિસ્પોન્સ ટાઈમને 10 મિનિટથી પણ ઓછો કરવા સૂચનડૉ. કે.એલ.એન. રાવે ડેટા એનાલિટિક્સનો વધુ ઉપયોગ કરીને રિસ્પોન્સ ટાઈમને 10 મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડમાં કાર્યરત પોલીસ ટીમ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો મજબૂત સંકલન જ ‘112’ સેવાની સફળતાનો આધાર છે. સાથે જ ફિલ્ડ સ્ટાફ દ્વારા ‘MDT’ એપ્લિકેશનનો યોગ્ય ઉપયોગ અને નક્કી કરાયેલા પ્રોટોકોલનું પાલન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વડાએ ઉમેર્યું હતું કે, સંકટની ઘડીમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી ગુજરાતની ‘112’ સેવાને સમગ્ર દેશમાં એક વિશ્વસનીય અને આદર્શ મોડેલ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ્ય છે. આ મુલાકાત દરમિયાન એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન, ખુરશીદ અહેમદ, આઈજીપી દીપક મેઘાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ કસક ગરનાળામાં ટ્રક ફસાઈ:લોખંડની એંગલમાં ફસાતા ટ્રાફિકજામ સર્જાયો
ભરૂચ શહેરના કસક ગરનાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માહિતી મુજબ, મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનાળામાં પ્રવેશી ગયો હતો. આ ટ્રક ગરનાળામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ ન હતી. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે નાના-મોટા વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઘણા લોકો તેમના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી. નોંધનીય છે કે કસક ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે. તેમ છતાં, આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખની અસરકારકતા પર સવાલ ઉભા કરે છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ગોધરામાં ઓરી નાબૂદી અભિયાનનો પ્રારંભ:ઓટો રિક્ષા દ્વારા શેરીએ-શેરીએ રસીકરણ માટે જનજાગૃતિ અભિયાન
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓરીના રોગચાળાને નિયંત્રિત કરવા માટે ‘ઓરી નાબૂદી અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટો રિક્ષા પર લાઉડ સ્પીકર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશેષ પ્રચાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 9 માસથી 5 વર્ષના બાળકોને ઓરી (મીઝલ્સ) સામે સુરક્ષિત કરવાનો છે. ઓટો રિક્ષા દ્વારા ગલીએ-ગલીએ ફરીને વાલીઓને રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર દરમિયાન વાલીઓને તેમના 9 માસથી 5 વર્ષના બાળકને ઓરીની રસી અવશ્ય મુકાવવા વિનંતી કરવામાં આવે છે. શહેરમાં ઓરીનો રોગચાળો ફેલાઈ રહ્યો હોવાથી બાળકોના રક્ષણ માટે રસીકરણ અત્યંત જરૂરી છે. તારીખ 29, 30 અને 31ના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા વેક્સિન સેન્ટર પર વિનામૂલ્યે ઓરીની રસીનો વધારાનો ડોઝ ઉપલબ્ધ રહેશે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ-ગોધરા દ્વારા આયોજિત આ અભિયાનમાં વાલીઓને કોઈપણ અફવા પર ધ્યાન આપ્યા વગર પોતાના બાળકને રસી અપાવી દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા અપીલ કરાઈ છે.
રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશેગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર-જિલ્લા પોલીસ વડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચનાભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે. ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકાશેડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતા નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય તેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે. તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશેગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે. જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યના તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ 'ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ' (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે. 60 દિવસથી વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારીઆ પોર્ટલ દ્વારા નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે.પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઈમ) ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પરવાર બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાન સાથે સુરતનું પણ કનેક્શન હોવાથી શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આજ વિમાન બે દિવસ અગાઉ સુરતમાં રમાઈ રહેલી ISPLની એક ક્રિકેટ ટીમના ઓનરનો પરિવાર સુરત આવ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. આ વિમાન 25-26 જાન્યુઆરીના રોજ સુરત એરપોર્ટ પર આવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું 25-26 જાન્યુ.એ સુરત એરપોર્ટ લેન્ડિંગમહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું અવસાન થયું છે. વિમાનમાં સવાર અન્ય ચાર લોકોના પણ મોત થયા છે. VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના મીડ સાઇઝ બિઝનેસ ચાર્ટર્ડ જેટ લિવરેજટ-45 વિમાન બે દિવસ પહેલા એટલે કે 25 અને 26 જાન્યુઆરીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. સુરતમાં રમાતી ISPL ટુર્નામેન્ટ માટે એક ટીમના ઓનરનો પરિવાર આજ પ્લેનમાં સુરત આવ્યો હોવાની ચર્ચા છે. કોલકાતા ટીમના ઓનરનો પરિવાર મુંબઇથી સુરત આવ્યો હતોમળતી માહિતી મુજબ સુરતમાં રમાતી ISPLની કોલકાતાની ટીમના ઓનરના પરિવારના સભ્યો સહિત 10 લોકો આજ વિમાનમાં બે દિવસ અગાઉ મુંબઇથી સુરત આવ્યા હતા. આ વિમાન મુંબઇથી સવારે સુરત આવ્યું હતું અને રાત્રિના ફરી સુરતથી મુંબઇ તરફ ટેકઓફ થયું હતું. આ વિમાનમાં કમ્બોઝ, સચદેવ યાદવ અને લખેકર અટકધારી મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. સુરત એરપોર્ટ પર વિમાનની રૂટિન તપાસ કરાઈ હતીસુરત એરપોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ વિમાન 26 જાન્યુઆરીએ સુરતમાં હતું. તે મુંબઇથી આવ્યું ત્યારે એનો એર વર્ધીનેશ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી. વિમાન લેન્ડ થયું ત્યારે અને સુરતથી ટેક ઓફ થયું ત્યારે એની રૂટિન તપાસ થઈ હતી. વિમાનનું સંચાલન કરનાર કંપની પાસે DGCAનું એર વર્ધીનેશ સર્ટિફિકેટ હતું. ISPL જોવા સેલિબ્રિટીઝ પણ આ વિમાનમાં આવ્યા હતાસુરત એરપોર્ટ પર વિમાનની લેન્ડિંગ અને સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિમાનની ગત દિવસોમાં પણ સુરત એરપોર્ટ પર અવરજવર રહી હતી. સુરતમાં ચાલી રહેલી ISPL જોવા માટે કેટલાક સેલિબ્રિટીઝ પણ આ વિમાનમાં આવ્યા હતા.
આજકાલ યુવા પેઢીમાં જીમ અને ફિટનેસનો ક્રેઝ સતત વધી રહ્યો છે. શરીર બનાવવાની દોડમાં યુવાનો પ્રોટીન પાઉડર અને જુદા-જુદા સપ્લિમેન્ટ્સનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ, આ ટ્રેન્ડ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો હોવાની ચેતવણી ઘણા નિષ્ણાતોએ આપી છે. લાંબા ગાળે શરીર માટે ઘાતક સાબિત થઈ શકે સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ફરજ બજાવતા ક્લિનિકલ ડાયેટિશિયન દલ્લિકા ખીમસૂર્યાના જણાવ્યા અનુસાર આજના સમયમાં ઘણા યુવાનો કોઈપણ તબીબી કે પોષણ નિષ્ણાતની સલાહ લીધા વગર બજારમાં ઉપલબ્ધ પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરે છે, જે લાંબા ગાળે શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનોમાં આ અંગે પૂરતી જાગૃતિનો અભાવ જોવા મળે છે. પ્રોટીન લેવાથી કિડની પર વધારાનો ભાર પડે છેડાયેટિશિયન જણાવે છે કે, શરીરને પ્રોટીનની જરૂર છે પરંતુ, તે જરૂરિયાત કુદરતી ખોરાકમાંથી સરળતાથી પૂરી થઈ શકે છે. દૂધ, દહીં, પનીર, દાળ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ પ્રોટીનના ઉત્તમ અને સલામત સ્ત્રોત છે. તેમણે ઘરેલુ પ્રોટીન પાઉડરની પણ સલાહ આપી છે. રાગી, મખાના, બદામ, પિસ્તા અને કાજુને દળી પાઉડર બનાવી લેવાથી પૌષ્ટિક અને સુરક્ષિત વિકલ્પ મળી શકે છે. બજારમાં મળતા પ્રોટીન પાઉડરનો વધુ કે ખોટી રીતે ઉપયોગ કરવાથી કિડની અને લિવર સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધુ પ્રમાણમાં પ્રોટીન લેવાથી કિડની પર વધારાનો ભાર પડે છે, જેના કારણે લોહી ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં તણાવ વધે છે અને કિડનીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રોટીન પાઉડર અચાનક બંધ કરો તો શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકેઆ ઉપરાંત, પ્રોટીન પાઉડરનો અતિશય ઉપયોગ હૃદયરોગને આમંત્રણ આપી શકે છે. બ્લડ પ્રેશરમાં વધારો, હૃદયના ધબકારા તેજ થવા તેમજ હાર્ટ એટેકનો જોખમ પણ વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં પ્રોટીન પાઉડર જીવલેણ સાબિત થઈ શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે. ડાયેટિશિયન વધુમાં જણાવે છે કે, જો કોઈ વ્યક્તિ પ્રોટીન પાઉડર અચાનક બંધ કરે, તો ભૂખમાં ઘટાડો, વજનમાં અચાનક ફેરફાર, મસલ માસ ઘટવું, હોર્મોનલ અસંતુલન, બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આવા સપ્લિમેન્ટ્સ કિડનીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. ફિટ રહેવા માટે શોર્ટકટ અપનાવવાની આદત ખતરનાકએક બાજુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે, લોકો કસરત અને યોગ તરફ વળી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ફિટ રહેવા માટે શોર્ટકટ અપનાવવાની આદત ખતરનાક સાબિત થઈ રહી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈપણ પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડાયેટિશિયન અથવા તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે અને સંતુલિત આહાર તથા કુદરતી પ્રોટીન પર જ ભાર મૂકવો જોઈએ.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડો.જીગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં બનાવેલી કોમેડી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. ડો. જીગરસિંહ જાડેજાએ આ રીલ પોતાના ઈન્સટાગ્રામ પર અપલોડ કરી હતી પરંતુ, વિવાદ થતા દૂર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. ભાસ્કરે આ મામલે વોકહાર્ટ હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા PROએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશન દરમિયાન બનાવેલી રીલ વાઈરલરાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન તરીકે કાર્યરત ડો. જીગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં એક કોમેડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વિવાદ સર્જાયો છે. વિવાદ વકરે તે પહેલા જ તબીબ દ્વારા આ રીલ ડિલિટ કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તબીબની વાઈરલ રીલને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યોસૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે વોકહાર્ટ હોસ્પિટલના તબીબ ડૉ. જીગરસિંહ જાડેજાનો એક વીડિયો જાહેર કર્યો છે. જે ઈન્સ્ટાગ્રામ પર રીલ સ્વરૂપે મૂકવામાં આવેલો છે. જેમાં ડોક્ટર એવું કહી રહ્યા છે કે, 'ઝીરો સિવિક સેન્સ. યે નહીં કોઈ બંદા ઓપરેશન થિયેટર મેં રીલ બના રહા હૈ, વિડીયો બના રહા હૈ ઔર પીછે સે આકે ઓપરેશન શુરુ કર દેતે હૈ. કહા જાયેગા યે રીલ. ઓર એસા ભી નહીં કે સોરી બોલે યે દેખો હસ રહા હૈ'. કોંગ્રેસ પ્રવક્તા વધુમાં જણાવે છે કે, એક તરફ દર્દી બેભાન છે અને ગંભીર હાલતમાં છે ત્યારે ડૉક્ટર કોમેડી રીલ બનાવી રહ્યા છે. જીવન બચાવવાનું પવિત્ર સ્થળ ગણાતું ઓપરેશન થિયેટર શું હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું સ્થળ બની ગયું છે ? તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે હદ પાર થઈ ગઈ છે.લાઇક્સ અને વ્યૂઝની દોડમાં માનવતા, નૈતિકતા અને વ્યાવસાયિક જવાબદારીને નેવે મૂકી દેવામાં આવી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રનું મૌનરીલ વાયરલ થતા જ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લોકો ખુલ્લેઆમ પૂછે છે કે, શું ડૉક્ટર માટે દર્દીની જિંદગી કરતાં રીલ વધુ મહત્વની બની ગઈ છે? ભાસ્કરે વોકહાર્ટ હોસ્પિટલનો પક્ષ જાણવા માટે હોસ્પિટલના PROનો ટેલિફોનિક સંપર્ક કરતા PROએ જણાવ્યું હતું કે, આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈપણ કહેવા માગતું નથી. એક તબીબ તરીકે ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવી જોઈએ નહીં- ડો. જયેશ વાંકાણીઆ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ની પ્રિમાઇસીસમાં ડોક્ટર રીલ બનાવી શકે છે. છે વિડીયો વાયરલ થયો છે તેમાં એનેસ્થેટિસ્ટ દ્વારા દર્દીને એનેસ્થેસિયાનો ડોઝ આપેલો છે. આ વીડિયોમાં ઓપરેશન કરતા ડોક્ટર કે દર્દીની આઇડેન્ટિટી જાહેર થતી નથી. જોકે એક તબીબ તરીકે કહું તો ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવી ન જોઈએ.
ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતા પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો
Today Silver Rate : ચાંદીની કિંમતમાં ફરી ધરખમ વધારો થયો છે. ચાંદીનો ભાવ રૂ.4 લાખને પાર થઈ ગયો છે. 29 ડિસેમ્બરના રોજ ચાંદીની કિંમત 2.50 લાખ હતી, ત્યારબાદ 16મી જાન્યુઆરીએ તેના ભાવમાં 30 ટકાનો વધારો થયો હતો. હવે માત્ર એક જ મહિનામાં ચાંદીન કિંમતમાં એક લાખ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
પાટડી છેતરપિંડી કેસ:સુરેન્દ્રનગર પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો, 4 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
સુરેન્દ્રનગર પોલીસે પાટડીના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની ખાસ ડ્રાઈવ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એન.એ. રાયમાની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. બાતમીના આધારે, ટીમે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ફાયર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીનો કબજો પાટડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં PSI એન.એ. રાયમા (પેરોલ ફર્લો સ્ક્વોડ), PSI જે.વાય. પઠાણ (LCB) તેમજ અજયવિરસિંહ, અશ્વિનભાઈ, ઈશ્વરભાઈ અને ચંદ્રવિજયસિંહ સુખદેવસિંહ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા સોડમતિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ૨૮ જાન્યુઆરીના રોજ બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ દ્વારા આયોજિત એન.એસ.એસ. (NSS) કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાવનગર જિલ્લા પરેશભાઈ ભટ્ટી મુખ્ય ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરેશભાઈ ભટ્ટી ગુજરાતના પ્રથમ શ્રેષ્ઠ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર, કોળીયાક હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય અને ભાવનગર રેડ ક્રોસ સોસાયટીના ડેપ્યુટી સેક્રેટરી જેવા અનેક પદો પર કાર્યરત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકીએ પ્રાસ્તાવિક ઉદબોધન આપ્યું હતું. પરેશભાઈ ભટ્ટીએ રાષ્ટ્રીય સેવા યોજનાના હેતુઓ સમજાવતા જણાવ્યું હતું કે, યુવાનોના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાના આચાર્ય મનીષભાઈ પરમારે શાળા સંકુલ અને ગામમાં સ્વચ્છતા તથા શિક્ષણનું વાતાવરણ નિર્માણ થાય અને લોકજાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસ.એમ.સી. (SMC) ના અધ્યક્ષ બુધાભાઈએ કેમ્પ દરમિયાન કોઈપણ જરૂરિયાત માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ભટ્ટે કર્યું હતું, જ્યારે આભાર વિધિ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર બીજલભાઈ ખેરે કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો ભરતભાઈ મજેઠીયા, મહેશભાઈ ભટ્ટ અને ગુણવંતભાઈ મેતલીયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.ના અધ્યક્ષ બુધાભાઈની વિશેષતા નોંધનીય હતી. તેઓ પોતે સાક્ષર ન હોવા છતાં, પોતાના ગામના તમામ બાળકો શિક્ષિત બને અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. બાળકોને ચાર-પાંચ કિલોમીટર દૂર વરતેજ અભ્યાસ માટે ન જવું પડે તે હેતુથી, તેમણે દાતાઓના સહયોગથી અને પોતાની મહેનતથી ધોરણ ૧ થી ૫ ની શાળાનું સુંદર બિલ્ડીંગ નિર્માણ કરાવ્યું છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. કાર્યક્રમના બીજા સેશનમાં શાળાના પૂર્વ આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ ઘડતર સંદર્ભે શ્રેષ્ઠ વ્યક્તિઓના ઉદાહરણો સાથે સુંદર રજૂઆત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા અને સફળ વ્યક્તિત્વનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ સેશનના અંતે પરેશભાઈ ત્રિવેદી તરફથી તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના ભક્તો દ્વારા 29 જાન્યુઆરી, 2026, ગુરુવારે નાની વાવડી માધ્યમિક શાળામાં એક વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગૌ.વા. ચતુરભાઈ માવજીભાઈ ફૂલતરીયાની યાદમાં તેમના પુત્ર સંજયભાઈ ફૂલતરીયા દ્વારા ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને ભગવદ્દગીતા (તેના મૂળ રૂપે) ભેટ આપવામાં આવી હતી. ઇસ્કોનના ભક્તો દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની વિદાય વિધિ હરિનામ સંકીર્તન અને ગીતા જ્ઞાન સાથે કરવામાં આવી હતી. હરિનામ સંકીર્તનમાં દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇસ્કોનના ભક્તો નિરંજન કેશવ પ્રભુ, અતુલ વિષ્ણુ દાસ, સચી પ્રાણ પ્રભુ, રવિ પ્રભુ તેમજ મિત પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ગઢીયા, પ્રદીપ જોષી અને સર્વે સ્ટાફે ઇસ્કોનના ભક્તોનો ભેટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2025-26 દરમિયાન વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે જે ખેડૂતોએ I Khedut પોર્ટલ પર અરજી કરી હતી અને જેમને વિભાગ તરફથી પૂર્વમંજૂરી મળી ગઈ છે, તેમણે પોતાની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી પડશે. અરજી પ્રક્રિયા અને અંતિમ તારીખ પૂર્વમંજૂરી મેળવનાર તમામ બાગાયતદારોએ આગામી 15/02/2026 પહેલા પોતાની અરજી સાથેના જરૂરી સાધનિક કાગળો અને ખર્ચના અસલ બિલો I Khedut પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આ દસ્તાવેજો સંબંધિત તાલુકા બાગાયત અધિકારીઓને જમા કરાવવાના રહેશે. સંપર્ક અને સહાય જો ખેડૂતોને આ પ્રક્રિયામાં કોઈ પણ મુશ્કેલી જણાય, તો તેઓ પોતાના તાલુકા બાગાયત અધિકારી અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા (ફોન નં. 0265-2429153) ખાતે સીધો સંપર્ક કરી શકે છે. સમયમર્યાદા ચૂકી ન જવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ તાકીદ કરવામાં આવી છે.
મહેસાણા શહેરના અમરપુરા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રસ્તાની ઓછી પહોળાઈ અને કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને પડતી હાલાકી મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. શાળાએ જતા બાળકો અને વાહનચાલકોને ભારે હાલાકીસ્થાનિક રહીશ કાન્તિભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમરપુરા વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ રસ્તો માત્ર 5 મીટરનો જ રાખવામાં આવ્યો છે. સ્થાનિકોની માગ છે કે ટ્રાફિક અને ભવિષ્યની જરૂરિયાતને જોતા આ રસ્તો 7 મીટર પહોળો કરવામાં આવે. વધુમાં, આ રસ્તાને બોર્ડની ઓરડીથી છેક સોય નિવાસ સુધી લંબાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરતા પૂર્વે કોઈ વૈકલ્પિક રસ્તો તૈયાર ન કરાતા શાળાએ જતા બાળકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા અનિયમિત દબાણો દૂર કરાયઅન્ય એક રહીશ મનુભાઈએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન દોઢથી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે રસ્તાની ઊંચાઈ વધારવી અત્યંત જરૂરી છે. રસ્તામાં આગળ જતાં થતા દબાણોને કારણે માર્ગ સાંકડો બની જાય છે, જેનાથી મોટા વાહનોની અવરજવર અશક્ય બને છે. રહીશોઓએ માગ કરી છે કે તંત્ર દ્વારા અનિયમિત દબાણો દૂર કરવામાં આવે અને રસ્તાને યોગ્ય પહોળાઈ તેમજ ઊંચાઈ સાથે તૈયાર કરવામાં આવે જેથી લોકોને કાયમી હાલાકીમાંથી મુક્તિ મળે.
ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે, આ જાહેર હિતની અરજી મૂંગા પ્રાણીઓને લઈને કરવામાં આવી છે. અરજદારો રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. સકકરબાગ ઝૂ જૂનાગઢે ટેન્ડર બહાર પાડ્યુ છે કે, જેમાં ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરે પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓના ખોરાક માટે ભેંસ વંશને પ્રાણી સંગ્રહાલયમાં લાવીને તેનું કત્લ કરવાનું રહેશે પરંતુ, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને લાવીને કત્લ કરી શકાય નહીં, તે કત્લ માટે નિયત જગ્યા હોય છે. પ્રાણી સંગ્રહાલય એ સ્લોટર હાઉસ નથી. આ વન વિભાગ અંતર્ગત આવતું પ્રાણી સંગ્રહાલય છે. જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અંતર્ગત પણ આવે છે. તેમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના નિયમો લાગૂ પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં પ્રાણીઓના વેચાણ અને સ્લોટરને રેગ્યુલરાઇઝ કરે છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં કોન્ટ્રાકટર પ્રાણીઓ લાવી, કાપીને પ્રાણી સંગ્રહાલયને વેચશે. સિંહ કોઈને મારી નાખે તો સિંહને મારી નખાય છે, કેટલા સિંહ મનુષ્યોએ મારી નાખ્યાકોર્ટે કહ્યું હતું કે, માંસાહારી પ્રાણીઓ માંસ ખાશે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલય જો કોર્પોરેશન હેન્ડલ ના કરતું હોય તો તેની જવાબદાર કેવી રીતે બને? કોન્ટ્રાક્ટ પણ JMC આપવાની નથી કે તેના વિસ્તારમાં સ્લેટર થવાનું નથી. માંસાહારી પ્રાણીઓ માટે માંસ સ્લોટર હાઉસમાંથી આવે તો ત્યાં પણ પ્રાણીઓ કપાશે જ ? તો પછી પ્રાણી સંગ્રહાલયમાં કપાય ઝૂ માં તમારે શું? પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ માટે શા માટે પ્રશ્નો નથી ઉપડતા? સિંહ કોઈને મારી નાખે તો સિંહને મારી નખાય છે, કેટલા સિંહ મનુષ્યોએ મારી નાખ્યા! તેઓ જંગલમાં રહેવાયેલા ટેવાયેલા પાંજરામાં નહીં! તમારી માન્યતા બંધ બેસતી નથી એટલે? કોઈ જાહેર વિસ્તારમાં સ્લોટર થવાનું નથીઅરજદારે જણાવ્યું હતું કે, પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં લાવીને સ્લોટર કરવાની જગ્યાએ પ્રમાણિત સ્લોટર હાઉસમાંથી જ માંસ લાવી માંસાહારી પ્રાણીઓને ખવડાવાય. કોર્ટે પૂછ્યું હતું કે, તમને ખબર છે કે ત્યાંથી પ્રાણીઓને યોગ્ય માંસ મળશે? માણસોને યોગ્ય ખાવા યોગ્ય મીટ મળતું નથી. આ કોઈ જાહેર વિસ્તારમાં સ્લોટર થવાનું નથી. પ્રાણી સંગ્રહાલયમાં તેઓએ મેનેજ કરવાનું છે, કોઈ વિઝિટર સામે પ્રાણીઓ નથી કપાવવાના. તમને સમસ્યા હોય તો રોડ ઉપર ઊભા રહીને દેખાવો કરો. માંસાહારી પ્રાણીઓ અને મનુષ્યના ઉપયોગ માટેના માંસ બંને મુદ્દા ભેગા કરો છોઆ મુદ્દો પ્રાણીઓ સામે પ્રાણીઓનો છે. કાલે ઊઠીને તમે કહેશો કે, જંગલમાં માંસાહારી પ્રાણીઓ શાકાહારીઓને મારી નાખે છે, તો તેમને જંગલમાંથી કાઢી મૂકો. તમે માંસાહારી પ્રાણીઓ અને મનુષ્યના ઉપયોગ માટેના માંસ એમ બંને મુદ્દા ભેગા કરો છો. કોર્ટે આ સાથે જ અરજી નકારી નાખી હતી.
ધરમપુર સગીરા અપહરણ કેસ:આરોપી જુડીશ્યલ કસ્ટડીમાં, મહારાષ્ટ્રથી છોડાવી પોક્સો કલમ ઉમેરાઈ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નોંધાયેલા સગીરા અપહરણ કેસમાં પોલીસને સફળતા મળી છે. સગીરાને મહારાષ્ટ્રથી સુરક્ષિત છોડાવ્યા બાદ આરોપી યુવકના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેને અદાલતમાં રજૂ કરી જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુર તાલુકાના એક શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા આરોપી યુવકના છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતી. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 19 જાન્યુઆરીના રોજ આરોપી યુવક સગીરાનું તેના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. સગીરાના ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ ST-SC સેલના DySP જે. કે. પટેલના નેતૃત્વ હેઠળ LCB અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે આરોપી યુવકને સગીરા સાથે ઝડપી પાડી, સગીરાનો કબજો મેળવ્યો હતો અને સગીરાને વલસાડ લાવી તેનું મેડિકલ પરીક્ષણ કરાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતાં અપહરણની ફરિયાદમાં પોક્સો (POCSO) કલમ ઉમેરવામાં આવી હતી. DySP જે. કે. પટેલે રિમાન્ડ દરમિયાન આરોપી વિરુદ્ધ જરૂરી પુરાવા એકત્રિત કર્યા. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી નિવેદન નોંધ્યું છે, જ્યારે આરોપીનું પણ મેડિકલ કરાવી કલમ 164 હેઠળ નિવેદનો નોંધવામાં આવ્યા છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે આણંદ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સવારે 10:00 કલાકે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કુલ ₹23.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને તૈયાર થનારા 49 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનારા પ્રોજેક્ટ્સમાં વિવિધ વિભાગોના કામોનો સમાવેશ થાય છે. જેમાં માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના 13 અને પંચાયતના 12 પ્રકલ્પો, શહેરી વિકાસ વિભાગના 10 મહત્વના પ્રોજેક્ટ્સ, શિક્ષણ વિભાગના 5 શૈક્ષણિક પ્રકલ્પો, પાણી પુરવઠા કલ્પસરના 5 જળસંચયના કામો અને આરોગ્ય વિભાગની 4 આરોગ્યલક્ષી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સહિતના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ કાર્યક્રમ ખંભાત વિધાનસભા અને આણંદ જિલ્લાના માળખાગત વિકાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદની જાણીતી નવતાડની પોળમાં મકાન ધરાશાયી, 4 લોકો દટાયાની આશંકા
Ahmedabad news: અમદાવાદના ઘી કાંટા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાણીતી નવતાડની પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ મકાન પડતાં ઘરમાં હાજર ચાર લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ
નવસારી મહાનગરપાલિકાની ટીમને ગેરકાયદે બાંધકામ અટકાવવા ગયેલી સંસ્કાર ભારતી સ્કૂલના પ્રિન્સિપાલે બે કલાક સુધી ગોંધી રાખી હતી. પાલિકાના સર્વેયરે પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાવી છે. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગના સર્વેયર શ્રેયશ કમલેશભાઈ ઢીમ્મરને ફરિયાદ મળી હતી કે વિજલપોર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલમાં રજાચીઠ્ઠી વગર ગેરકાયદેસર રીતે ટોયલેટ-બાથરૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ ફરિયાદના આધારે ગઈકાલે બપોરે 1:30 વાગ્યે સર્વેયર તેમની ટીમ અને 15 જેટલા મજૂરો સાથે તપાસ કરવા પહોંચ્યા હતા. પાલિકાની ટીમે બાંધકામની પરવાનગી માંગી ત્યારે સ્કૂલ સત્તાધીશો પાસે કોઈ આધાર નહોતો. આથી ટીમે બાંધકામનો સામાન જપ્ત કરી ટેમ્પામાં ભરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ પ્રિતેશભાઈ ગજેરા ત્યાં ધસી આવ્યા અને સામાન ભરવા સામે વિવાદ કર્યો. તેમણે સ્કૂલનો મુખ્ય ગેટ બંધ કરાવી પાલિકાની ટીમને અંદર જ ગોંધી દીધી હતી. પ્રિન્સિપાલે 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને સ્થાનિક પત્રકારોને પણ સ્થળ પર તેડાવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ પાલિકા વિરુદ્ધ નિવેદનો આપી ધમકી આપી કે જ્યાં સુધી ટેમ્પામાંથી સામાન ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી ગેટ ખોલવામાં આવશે નહીં. આશરે બે કલાક સુધી પાલિકાના કર્મચારીઓને અટકાવી રાખી, દબાણ હેઠળ સામાન ઉતરાવ્યા બાદ જ તેમને જવા દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સર્વેયર શ્રેયશ ઢીમ્મરે વિજલપોર પોલીસ મથકમાં પ્રિન્સિપાલ પ્રિતેશભાઈ ગજેરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 221, 224 અને BNSS ની કલમ 174 મુજબ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ દેવરાજ લાડુમોર ને પૂછતા તેમણે જણાવ્યું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે કેસની તપાસ માટે સંસ્કાર ભારતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રિતેશ ગજેરાને આગામી સમયમાં બોલાવવામાં આવશે શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરાએ ગઈકાલે દિવ્ય ભાસ્કરને આપેલા માહિતી મુજબ પાલિકા પાસે કોઈ લેખિત નોટિસ કે આદેશ નહોતો. માત્ર કમિશનરના મૌખિક આદેશનો હવાલો આપીને કામગીરી રોકવાનો પ્રયાસ કરાયો છે. પાછળ આવેલા એપાર્ટમેન્ટના 3-4 રહીશોની ફરિયાદને આધારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સંચાલકોએ જણાવ્યું કે ખાનગી જગ્યામાં ક્યાં બાંધકામ કરવું તે અમારો અધિકાર છે, છતાં અમને જગ્યા બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.શાળાના ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમે સરકારી કાયદાઓનું પાલન કરવા બંધાયેલા છીએ અને વહીવટી તંત્રને સહયોગ આપવા પણ તૈયાર છીએ. પરંતુ જે રીતે મૌખિક આદેશથી આ કામ અટકાવવામાં આવ્યું છે, તે અંગે અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ પહોંચ્યા:સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્યો સહિતે સ્વાગત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. તેમનું સ્વાગત કરવા માટે રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના વિમાન ઉતરાણ બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર ઝાલાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અગ્રણી આગેવાનો બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી, કેતન નાખવા, વિજયસિંહ જેઠવા અને આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
તારાપુરના NRI દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલનો ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. મૂળ તારાપુરના અને હાલ અમેરિકામાં રહેતા હસમુખભાઈ પટેલે સરકારી કોલેજ, નગરપાલિકા ભવન અને સરકારી લાયબ્રેરી માટે ₹11 કરોડની કિંમતની જમીનનું દાન કર્યું છે. આ ઉપરાંત તેમણે નગરપાલિકાના બાકી વીજ બિલ, મદનમોહન હવેલી અને APMC માટે પણ મોટી રકમનું દાન આપ્યું છે. ખંભાત રોડ પર આવેલી આ કિંમતી જમીન તારાપુરના વિકાસ માટે સમર્પિત કરવામાં આવી છે. આ ભૂમિદાનથી તારાપુરમાં મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જમીનદાન ઉપરાંત, હસમુખભાઈ પટેલે નગરપાલિકાના બાકી વીજ બિલ ભરવા માટે કુલ ₹31 લાખનું દાન આપ્યું છે, જેમાં અગાઉ અપાયેલા ₹20 લાખ અને સમારંભ દરમિયાન અપાયેલા ₹11 લાખનો સમાવેશ થાય છે. તેમણે મદનમોહન હવેલીના હોલ માટે ₹25 લાખ અને તારાપુર APMC માટે ₹25 લાખનું દાન પણ આપ્યું હતું, આમ કુલ ₹50 લાખનું વધારાનું દાન કર્યું. આ સન્માન સમારંભ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને ભામાશા શૈલેષભાઈ કાંતિભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે સોજીત્રા વિધાનસભા પરિવાર અને તારાપુર તાલુકા વતી દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, લાયન્સ ક્લબના ચેરમેન ચિરાગભાઈ શાહ, અર્બન બેંકના ચેરમેન ઠાકોરભાઈ પટેલ, તારાપુર ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈસરવાડા સીમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો:સુરેન્દ્રનગર જિલ્લાના યુવકની ઓળખ, પોસ્ટમોર્ટમ શરૂ
તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર ઈસરવાડા ગામની સીમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયો છે. પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને માહિતી મળ્યા બાદ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું જણાયું હતું. તેણે કાળા રંગનું જેકેટ, સફેદ ઊભી લાઈનિંગવાળું રાખોડી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેર્યું હતું. પોલીસની વધુ તપાસમાં મૃતક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરવાડી ગામનો વિષ્ણુભાઈ વિનોદભાઈ ઉદરેજીયા હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, વિષ્ણુભાઈ અસ્થિર મગજના હતા અને છેલ્લા સાત-આઠ દિવસથી ઘરેથી ગુમ હતા. તારાપુરના પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, મૃતક યુવાનના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
SPRERI ખાતે ICAR-AICRP વર્કશોપનો પ્રારંભ:કૃષિ મંત્રીએ 'વિકસિત ભારત' માટે સંશોધકોને આહવાન કર્યું
સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SPRERI) દ્વારા આયોજિત ICAR-AICRP (એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો-ઇન્ડસ્ટ્રીઝ)ની 29મી વાર્ષિક નેશનલ વર્કશોપનો ગુરુવારે BVM એન્જિનિયરિંગ કોલેજ ખાતે પ્રારંભ થયો. ત્રણ દિવસીય આ વર્કશોપમાં રાજ્યના કૃષિ મંત્રી જિતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં કૃષિ મંત્રી જિતુ વાઘાણીએ ખેડૂતો અને વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે કૃષિ અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું જરૂરી છે. મંત્રીએ સંશોધકોને એવા સાધનો અને પદ્ધતિઓ વિકસાવવા આહવાન કર્યું જે સીધી રીતે ખેડૂતોના ખેતર સુધી પહોંચે અને તેમની આવકમાં વધારો કરે. તેમણે કુદરતી ખેતી અને ટકાઉ વિકાસ પર પણ ભાર મૂક્યો. ICAR (નવી દિલ્હી)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. એન. ઝાએ અધ્યક્ષીય ઉદ્ઘોષણમાં જણાવ્યું કે, ખેતીમાં આધુનિક મશીનોનો ઉપયોગ વધવો જોઈએ, પરંતુ તેની સાથે પરંપરાગત ખેતીનું મહત્વ પણ જળવાઈ રહેવું જોઈએ. તેમણે SPRERI જેવી સંસ્થાઓને ઉદ્યોગો અને ખેડૂતો વચ્ચે કડી સમાન ગણાવી. આ વર્કશોપમાં દેશભરની 16 પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને 250થી વધુ સંશોધકો તેમજ ખેડૂતોએ હાજરી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ ઉલ્લેખ કર્યો કે યુનિવર્સિટીના તમામ વિભાગો 100% સોલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ, AAUના કુલપતિ ડૉ. કે. બી. કથિરિયા, CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ, ICARના ડૉ. કે. પી. સિંહ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વી. કે. ભાર્ગવ અને SPRERIના ડાયરેક્ટર ડૉ. અનિલ કુમાર દુબે મંચસ્થ રહ્યા હતા. અંતે વૈજ્ઞાનિક ડૉ. મુકુલ દુબેએ આભારવિધિ કરી હતી.
શંખેશ્વરમાં બોગસ ડોક્ટર ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો, દવાઓ-સાધનો જપ્ત
પાટણ એસ.ઓ.જી. શાખાએ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમને બાતમી મળી હતી કે સુબાપુરા ગામના બસ સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં એક શખ્સ ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાં હાજર શખ્સનું નામ કાંતિભાઈ ભુરાભાઈ રાવળ (રહે. રાફુ, તા. સમી, જી. પાટણ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી મેડિકલ ડિગ્રી કે લાયસન્સ માંગતા, તે રજૂ કરી શક્યો નહોતો. આરોપીએ કબૂલ્યું હતું કે તે કોઈપણ લાયસન્સ વગર, માત્ર અનુભવ અને અનુમાનના આધારે દરરોજ આશરે 10 થી 12 દર્દીઓની તપાસ કરી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સ્ટેથોસ્કોપ, બીપી મશીન, આઈ.વી. સેટ, યુરિન બેગ, પેરાસીટામોલ ટેબ્લેટ અને વિવિધ ક્રીમ સહિત કુલ રૂ. 4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી કાંતિભાઈ રાવળ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મથુરભાઈ ધારસીભાઈને સોંપવામાં આવી છે.
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન પડતા બેથી ત્રણ લોકો દટાયા છે. ફાયર વિભગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળ ઉપર પહોંચી રહી છે. ફાયરની બે ટીમને સ્થળે રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ મકાનના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને તાજેતરમાં જ 25 વર્ષ પૂર્ણ થયા છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદને કચ્છીઓ અને ગુજરાતીઓ ક્યારે ભૂલી શકે તેમ નથી. કચ્છનો વિસ્તાર ઝોન-5માં આવતો હોય નિયમિત પણે આ વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃતિ જોવા મળતી હોય છે. તાજેતરમાં જ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગાંધીનગરના ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી'યોજાઈ હતી. છેલ્લા 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલય રિજન અંગે નોંધપાત્ર સંશોધન થયું છે. આ ઉપરાંત વિશ્વકક્ષાએ સંશોધન ચાલી રહ્યા છે. જેમાં 110 ભારતીય અને 25 વૈજ્ઞાનિકો જોડાયેલા છે. તેઓ દ્વારા રજૂ કરાયેલા રિસર્ચ પેપરમાં વિવિધ તારણો રજૂ કરવામાં આવ્યા છે. સોલિડ અર્થ જીઓફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકસર્સ (SEAP)ના ગ્રુપ હેડ. ડો. કે. મધુસુદન રાવે સંશોધનને લઈ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી ત્રણ દિવસની પરિષદમાં નિષ્ણાંતોએ રિસર્ચ પેપર રજૂ કર્યા23 થી 25 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ISR અને ઇન્ડિયન સોસાયટી ઑફ અર્થક્વેક સાયન્સિસ (ISES) દ્વારા છેલ્લા 25 વર્ષોમાં થયેલા વિકાસ” તેમજ “એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ”ની 9મી વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા ઈન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી અંગે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. અન્ય દેશો સાથે કચ્છ વિસ્તારની શું સમાનતા?સોલિડ અર્થ જીઓફિઝિક્સ અને અર્થક્વેક પ્રિકર્સર્સ (SEAP) ગ્રુપ હેડ ડૉ. કે. મધુસુધન રાવએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન રિજન અંગે છેલ્લા 25 વર્ષમાં નોંધપાત્ર સંશોધન થયું છે. વિશ્વ કક્ષાએ ચાલતા આ સંશોધનમાં 110 ભારતીય અને 25 વિદેશી વૈજ્ઞાનિકોએ ભાગ લઈને પોતાના રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યા હતા. અભ્યાસમાં મુખ્યત્વે એ વાત સામે આવી કે, ઇન્ટ્રાપ્લેટ રિજનમાં મોટા ભૂકંપ માઈક્રોપ્લેટની ગતિના કારણે થઈ શકે છે, જેમ કે 2001માં ભુજમાં આવ્યો હતો. યુએસએ સહિત અન્ય દેશોના ઇન્ટ્રાપ્લેટ રિજન સાથે ગુજરાતના કચ્છ વિસ્તારમાં શું સમાનતા છે તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. આફટરશોક લાંબાો સમય ચાલુ રહેવાની શક્યતા- ડો. રાવડૉ. રાવે જણાવ્યું કે, કચ્છ વિસ્તાર ઝોન-5માં આવેલો હોવાથી અહીં નિયમિત રીતે ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે. ભૂતકાળમાં અહીં મોટા ભૂકંપ આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવવાની સંભાવના નકારી શકાય નહીં. હાલમાં જોવા મળતા આફ્ટરશોક્સ હજુ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના લાલપુર, જુનાગઢ અને ભાવનગર વિસ્તારોમાં હળવા ભૂકંપીય આંચકા વધારે અનુભવાય છે. આ ભૂકંપો સામાન્ય રીતે ઓછી ડેપ્થ (4થી 5 કિલોમીટર) પર થતાં હોવાથી નુકસાન ઓછું થાય છે. વરસાદી ઋતુ પછી આવી ઘટનાઓ વધારે જોવા મળે છે. સરફેસ સુધી એનર્જી પહોંચતાં અવાજ સાથે આંચકો અનુભવાય છે, જે મોટો ભૂકંપ હોવાનો ભ્રમ ઊભો કરે છે, પરંતુ હકીકતમાં તે નાનો ભૂકંપ હોય છે.મહત્વપૂર્ણ વાત એ છે કે, આવા હળવા આંચકા સારા માનવામાં આવે છે, કારણ કે તે ભૂગર્ભીય એનર્જી ધીમે ધીમે રિલીઝ કરી દે છે, જેથી મોટા ભૂકંપની શક્યતા ઘટે છે. 150થી 200 વર્ષમાં કચ્છમાં ફરી વિનાશક ભૂકંપ આવવાની શક્યતાપરિષદમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ, કચ્છ વિસ્તારમાં મોટા ફોલ્ટ લાઈન્સ હોવાને કારણે 1890 અને 2001માં 7.5થી વધુ મેગ્નિટ્યુડના ભૂકંપ આવ્યા હતા. આવા મોટા ભૂકંપ સામાન્ય રીતે 150થી 200 વર્ષના અંતરે આવે છે. વચ્ચેના સમયમાં નાના ભૂકંપો અને આફ્ટરશોક્સ ચાલુ રહે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આટલી તીવ્રતા ધરાવતા ભૂકંપની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું. પરિષદમાં કઈ કઈ બાબતોને લઈ ચર્ચા?આ પરિષદમાં ભૂકંપ પૂર્વ સૂચના પ્રણાલી (Earthquake Early Warning), હિમાલયન ભૂકંપીય પ્રવૃત્તિ, સક્રિય ભૂસ્તર રેખાઓ, પૃથ્વીની આંતરિક રચના અને ભૂકંપ જોખમ માઇક્રોઝોનેશન જેવા વિષયો પર તાજા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી. ભારત અને વિદેશના મળીને 150થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઈ ભૂકંપ વિજ્ઞાન અને આપત્તિ તૈયારી અંગે પોતાના અનુભવ શેર કર્યા, જેનાથી ભવિષ્યમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બનવાની આશા વ્યક્ત કરવામાં આવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા:દ્વારકાધીશના દર્શન કર્યા, ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તીર્થભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે તેમજ અગ્રણી મયુરભાઈ ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના પાવન ધામે જઈ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દર્શન અને અર્ચન કર્યા હતા. તેમણે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ભક્તિભાવથી પાદુકાપૂજન પણ કર્યું હતું. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન સ્વીકારી સૌને “જય દ્વારકાધીશ” પાઠવ્યા હતા. આ અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ, ફૂલ, તુલસીમાંથી નિર્મિત અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારકામાં આયોજિત દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ તથા 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી અને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નેપાળી બાબા (સંત આત્માનંદદાસ મહાત્યાગી)ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે વિષ્ણુ લોક હવન યજ્ઞશાળા તથા શિવ લોક નામ જપ યજ્ઞશાળાની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, તા. 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલનારા આ ધાર્મિક આયોજનમાં દેશભરમાંથી આશરે 21 હજાર બ્રાહ્મણ દ્વારા 58 કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો અને મહાત્માઓ પણ આ કાર્યક્રમમાં સંમેલિત થયા છે. મુખ્યમંત્રીની મુલાકાત વેળાએ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
બી.કે. જયંતી દીદીજી મોરબીમાં પ્રથમવાર પધારશે:'સુખ જીવનનો સાર' વિષય પર મુખ્ય પ્રવચન આપશે
મોરબીમાં 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સહ-પ્રશાસિકા બી.કે. જયંતી દીદીજી (લંડન) પ્રથમવાર મોરબી પધારશે અને મુખ્ય પ્રવચન આપશે. આ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી, બુધવારે સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 4 કલાકે Gate Way to Heaven (સ્વર્ગનું દ્વાર) મેગા લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા થશે, જે ટેકનોલોજીના માધ્યમથી આધ્યાત્મિક રહસ્યોની ઝાંખી કરાવશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બી.કે. જયંતી દીદીજીનું પ્રવચન રહેશે. તેઓ સુખ જીવનનો સાર: સકારાત્મકતા વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપશે. આ પ્રવચનમાં તણાવમુક્ત અને સુખી જીવન જીવવાની ચાવીઓ સમજાવવામાં આવશે. સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન સૂર ઝંકાર – મધુર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મોરબીના દરેક નાગરિકને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

27 C