વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી પોલીસમાં અરજી કરી છે. એક તરફ છરી બતાવી હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે તો બીજી તરફ ગેરકાયદે કામો માટે દબાણ અને ગાળાગાળીના આક્ષેપો કરવામાં આવ્યા છે. ટેન્ડર અને વિકાસ કામો મુદ્દે વિવાદ વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસ કામોના ટેન્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા, જે બાબતે રજૂઆત કરવા તેઓ અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસર પાસે ગયા હતા. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ ઉશ્કેરાઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ટેબલ પર પડેલી છરી કે કટર વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. પાંચ ટર્મથી હું ચૂંટાવ છું અમે લોકોના કામ માટે ગયા હતા. ઉપપ્રમુખ અને ચીફઓફિસર એકબીજા પર ગંભીર આક્ષેપસામે પક્ષે ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉપપ્રમુખ અને તેમની સાથે આવેલા લોકો એન્જિનિયર દ્વારા થતા કામોમાં દખલગીરી કરી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે કામો કરવા અને ખોટા બિલો પાસ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જ્યારે નિયમ મુજબ કામ કરવાનું કહ્યું ત્યારે ઉપપ્રમુખ અને તેમના સાથીઓએ ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું હતું. ચીફ ઓફિસરે 'નોનસેન્સ, ગેટ આઉટ' કહીને તેમને ચેમ્બરની બહાર નીકળી જવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસરતા પાલિકાની આબરૂના ધજાગરા ઉડ્યા છે. ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખસો સામે અને સામા પક્ષે ચીફ ઓફિસર સામે પણ પોલીસમાં અરજી કરવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષની રજૂઆત નોંધીને વાયરલ વીડિયોના આધારે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ગઠિયાઓએ રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88.50 લાખની છેતરપિંડી આચરી હતી જેમાં આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપી મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં આખી જિંદગી જેલમાં રહેવાની વૃદ્ધ કપલને ધમકી આપી ફસાવ્યા હતા અને બાદમાં ગોલ્ડલોન લેવડાવી વૃધ્ધ દંપતી પાસેથી રૂપિયા પડાવ્યા હતાં. આ કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના એકાઉન્ટમાં ફરિયાદીના કુલ 8 લાખ રૂપિયા જમા થયા હતા અને આ ઉપરાંત અન્ય 21 જેટલા અલગ અલગ રાજ્યોના ફ્રોડ ટ્રાન્ઝેક્શન આરોપીના બેન્ક એકાઉન્ટમાં થયા હોવાનું સામે આવ્યું છે જે માટે તેને રૂપિયા 1.50 લાખનું કમિશન પણ મળ્યું હતું. રાજકોટના સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ NDPSના કેસમાં ફસાવી દેવાની તેમજ મની લોન્ડ્રીંગના કેસમાં જેલમાં જવું પડશે કહી દિલ્લી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂપિયા 88.50 લાખ પડાવી લેવામાં આવ્યા હતા જેમાં અગાઉ પોલીસે ત્રણ આરોપી બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આજે વધુ એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષી (ઉ.વ.22)ની મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષી (ઉ.વ.22) પોતે અભ્યાસ કરતો હોવાનું અને તેના એકાઉન્ટમાં ફરિયાદી દિનેશભાઇ દેલવાડીયાના કુલ 8 લાખ રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીના એકાઉન્ટમાં અલગ અલગ રાજ્યોમાંથી ફ્રોસની રકમના કુલ 21 ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ માટે આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીને રૂપિયા 1.50 લાખ કમિશન પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે તેની ધરપક કરી રિમાન્ડ મેળવી મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તજવીજ હાથ ધરી છે. ફરિયાદી દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.69)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ સેસન્સ કોર્ટમાં આશીસ્ટન્ટ કલાર્ક તરીકે નોકરી કરતો હતો હાલ રીટાયર્ડ છુ અને બોલબાલા ટ્રસ્ટમા છેલ્લા 5 વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા આપુ છુ. ગત તા.08.07.2025ના રોજ હું તથા મારી પત્ની ઘરે હતા ત્યારે સવારના 8 વાગ્યા આસપાસ મને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યુ હતું કે હુ ટેલીફોન વિભાગમાંથી બોલુ છુ અને તમને 10 મીનીટ પછી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે તમે તેની સાથે વાત કરી લેજો તેવુ કહી ફોન કટ કરી દીધો હતો. 10 મીનીટ પછી એક અજાણ્યા વ્હોટ્સઅપ નંબરથી ફોન આવ્યો અને હુ દિલ્હી ક્રાઇમ બ્રાંચમાથી બોલુ છુ તેમ કહી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં સંદીપ કુમાર જે ICICI BANK મેનેજર હતા તેઓ વિરૂધ્ધ મની લૉડરીંગનો ગુનો દાખલ થયો છે અને સંદીપકુમારે જે ફ્રોડ કરેલ છે તેમાથી તમને સંદિપકુમારે 10% હીસ્સો આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમા નીવેદન આપ્યું છે. સંદીપ કુમારના ઘરે રેઇડ કરતા આઠ મીલીયન રોકળ રકમ, 180 જુદી જુદી બેંકોની પાસબૂક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો, તથા મોટા જથ્થાનું ડ્રગ્સ કબ્જે કરેલ છે જેના હિસ્સેદાર તમે પણ છો અને આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી અમોને મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. ઘરે હું તથા મારી પત્ની એકલા રહેતા હોય જેથી અમે ડરી ગયા હતા અને આ બાબતે અમે તે સમયે કોઇને વાત કરી ન હતી. થોડીવાર પછી મારી પત્નીના મોબાઇલમા વોટસએપમાં કોઈ આરોપીને પકડેલ હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલ્યા હતા અને અમને જણાવ્યું કે આ વાત કોઇને કરતા નહી જો કોઈને કહેશો તો અમો ત્યા આવીને તમને એરેસ્ટ કરીશુ. ત્યારબાદ મને જણાવ્યું કે તમારા બેંક એકાઉમા 10% વાળી રકમ આવેલ છે કે નહી તે જાણવા માટે હું એક એકાઉન્ટ નંબર મોકલુ છુ તેમા તમારે રૂ.8,00,000 જમાં કરાવવાના છે કહી સેંટ્રલ બેંક ઓફ ઇંડીયા એકાઉન્ટ નંબર મોકલતા રૂ.8,00,000 RTGS કર્યા હતા અને પછી એમ કહ્યું કે જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પૈસા તપાસ પુરી થયે પરત મળી જશે. ત્યારબાદ બીજા દીવસે ફરી વોટસએપ કોલ આવ્યો અને કહ્યું કે તમારે બેંકમા લોકર છે અને હોય તો તેમા ગોલ્ડ હોય તો તમે ICICI BANK જઈને ગોલ્ડ લોન લઇ પૈસા જમાં કરાવી આપો જેથી મે તેમને કહ્યું કે મે રૂ.8,00,000નુ RTGS કરેલ છે તે પરત આપો ત્યારે તેમણે મને કહ્યું કે પેહલા તમારી બધી રકમનુ વેરીફીકેશ થઈ જશે અને ત્યારબાદ તમને એક સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ તમને તમારી બધી રકમ પાછી સોંપી દેવામા આવશે. મને તથા મારી પત્નીને દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અમારી પાસેથી 10.07.2025થી શરૂ કરી 02.08.2025 સુધીમાં 11 વખત જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ.88.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ મારા દીકરા કૃણાલને કરતા તેણે સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરના હેલ્પલાઈન નંબર 1930મા કોલ કરી ઓનલાઇન અરજી કરી હતી જે બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટમા ફરિયાદ નોંધાઈ હતી.
શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન એ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ છે. આ ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચેના સહિયારા બૌદ્ધ વારસાને વધુ મજબૂત બનાવે છે. ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા આ અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા હતા, જ્યાં સ્થાપિત પ્રોટોકોલ મુજબ તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. આ અવશેષો સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ સહભાગી થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનું પરિણામઆ પ્રદર્શનનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2025 માં તેમની શ્રીલંકા મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાના ભાગરૂપે કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા માટે વર્ષ 2020 માં 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ જાહેર કરી હતી. આ ઉપરાંત, અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે પણ ભારત દ્વારા વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કોલંબોમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ કોલંબોના સુપ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા આ પવિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીંડે અસાજી થેરો, ભારત તરફથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકા સરકારના મંત્રીઓ ડૉ. હિનિડુમા સુનિલ સેનેવી, ડૉ. નલિન્દા જયતિસ્સા અને પ્રો. A.H.M.H અભયરત્ના પણ આ ગરિમાપૂર્ણ સમારોહમાં જોડાયા હતા. જાહેર દર્શન અને વિશેષ મહત્ત્વ આ પ્રદર્શનમાં પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી વિષય પર વિશેષ પ્રદર્શનો પણ યોજાયા છે. પવિત્ર અવશેષો 5 ફેબ્રુઆરી, 2026 થી જાહેર દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ અવશેષોનું આગમન શ્રીલંકાના 78 મા સ્વતંત્રતા દિવસના અવસરે થયું હોવાથી તેનું મહત્વ બેવડાયું છે. ભારતની બહાર દેવનીમોરી અવશેષોની આ પ્રથમ જાહેર પૂજા છે. આ પૂર્વે ભારતે 2012 માં કપિલવસ્તુ અને 2018 માં સારનાથના અવશેષો શ્રીલંકા મોકલ્યા હતા. આ આયોજન ભગવાન બુદ્ધના કરુણા અને શાંતિના સંદેશને વિશ્વભરમાં ફેલાવવાનું કામ કરશે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે 27 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 30મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રસંગે 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ મહોત્સવમાં સમાજની ડિજિટલ એપ્લિકેશનનું વિમોચન, રક્તદાન કેમ્પ અને દાતાઓના સન્માન જેવા રચનાત્મક કાર્યો પણ કરવામાં આવ્યા હતા. અડિયા ખાતે આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં સામાજિક સંગઠન અને એકતાના દર્શન થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે 22 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓ રોકી આર્થિક બચત અને સામાજિક એકતા મજબૂત કરવાનો હતો. આ મહોત્સવ દરમિયાન ટેકનોલોજીના માધ્યમથી સમાજને સંગઠિત કરવાના હેતુથી 27-LP નામની આધુનિક એપ્લિકેશનનું વિમોચન કરાયું હતું. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજની સંપૂર્ણ ડેટાબેંક, સગપણ-સેતુ, વ્યવસાય અને રોજગારની વિગતો તેમજ સમાચારો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને આપત્તિના સમયે તાત્કાલિક સહાય મેળવવા માટે પણ આ એપ ઉપયોગી થશે. લગ્નોત્સવની સાથે માનવતાના અભિગમ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે સમાજે જાગૃત થવું જરૂરી છે. તેમણે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન પર ભાર મૂકતા કહ્યું કે, વરસાદી પાણીનો સંગ્રહ એ ભવિષ્યની જરૂરિયાત છે અને આ માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે પરિવર્તનની હિમાયત કરતા તેમણે જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલમાં 25 થી 40 વર્ષની નાની ઉંમરે ડાયાબિટીસ, કેન્સર અને હાઈ બ્લડપ્રેશર જેવા રોગો વધી રહ્યા છે, જેની સામે જાગૃતિ લાવવી જરૂરી છે. અંતમાં તેમણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું.
પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત અનેક લાભાર્થીઓની ફાઈલો લાંબા સમયથી મંજૂરીના અભાવે અટવાઈ પડી છે. આ મામલે નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ ચીફ ઓફિસર હીરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ, અધિકારીની સહી ન થવાને કારણે ફાઈલોનો ભરાવો થયો છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં વહીવટી વિલંબને કારણે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક લાભાર્થીઓની ફાઈલો તમામ પ્રક્રિયાઓ પૂર્ણ હોવા છતાં ચીફ ઓફિસરની અંતિમ સહી બાકી હોવાથી પેન્ડિંગ છે. આ વિલંબના કારણે લાભાર્થીઓને મળવાપાત્ર આવાસના લાભો સમયસર મળી રહ્યા નથી, જેનાથી તેમને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેટર ભાટીયાએ ઈમેલ અને વોટ્સએપ માધ્યમથી પણ રજૂઆત કરી છે કે કચેરીમાં પેન્ડિંગ રહેલ તમામ ફાઈલોનો તાત્કાલિક અભ્યાસ કરી તેના પર સહીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનો હેતુ જરૂરિયાતમંદોને ઘર પૂરૂં પાડવાનો છે, પરંતુ વહીવટી વિલંબ આ હેતુમાં અવરોધ બની રહ્યો છે. અરજદારો લાંબા સમયથી આવાસની આશા રાખીને બેઠા હોવાથી આ બાબતે ઉચ્ચ સ્તરેથી જરૂરી સૂચનાઓ આપીને ફાઈલોનો નિકાલ કરવામાં આવે તે હિતાવહ છે. પાટણ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે આગામી સમયમાં કેવી કામગીરી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
17 વર્ષથી ફરાર અપહરણનો આરોપી ઝડપાયો:અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે નડિયાદમાંથી પકડ્યો
અમરેલી જિલ્લામાં 17 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર લિસ્ટેડ આરોપી ઉમેદભાઈ ઉર્ફે ઉમેશભાઈ કાથડભાઈ હુદડ (ઉંમર 43) ને અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે. વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. અમરેલી એલસીબી પીઆઈ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ અને પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઈ એન.જી. સાપરાના સીધા સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી ખેડા જિલ્લાના નડિયાદ શહેરના યોગીનગર વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે ટીમે નડિયાદ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. વડિયા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુના રજી. નં. 06/2009 IPC કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધાયો હતો. પકડાયેલા આરોપીએ આશરે 17 વર્ષ પહેલા ભોગ બનનારને તેના વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી અપહરણ કર્યું હતું. ત્યારથી તે ભોગ બનનાર સાથે નાસતો ફરતો હતો. પકડાયેલા આરોપી અને ભોગ બનનારને આગળની જરૂરી કાર્યવાહી માટે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, અમરેલીને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. આ કામગીરીમાં પીએસઆઈ એન.જી. સાપરા, એએસઆઈ અજયભાઈ એમ. સોલંકી, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બી. સોંધરવા અને ભાવનાબેન બી. ચૌહાણ સહિતની ટીમ જોડાઈ હતી.
અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસમાં છેલ્લા 19 વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતા પ્રતિષ્ઠિત 'સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ'નો ભવ્ય સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું નેતૃત્વ ડાયરેક્ટર અને ફાઉન્ડર મહમદ ઈસ્લામ તથા એવોર્ડ ચેરમેન પરિમલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના માર્ગદર્શન હેઠળ પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મુખ્ય અતિથિના હસ્તે એવોર્ડ એનાયત આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના કોન્સ્યુલ જનરલ (લોસ એન્જલસ) ડો. કે. જે. શ્રીનિવાસા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સુરત સાથે જોડાયેલા અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના વેરી યંગેસ્ટ નેતા તરીકે જાણીતા યોગી પટેલે ડો. કે. જે. શ્રીનિવાસાનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિના હસ્તે વિવિધ ક્ષેત્રના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. યોગી પટેલનું સ્પેશિયલ એવોર્ડથી સન્માન આ પ્રસંગે યોગી પટેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેમની રાજકીય સક્રિયતા અને ભારતીય સમુદાય માટેની શ્રેષ્ઠ સામુદાયિક સેવાઓની કદર રૂપે તેમને 'સ્પેશિયલ એવોર્ડ'થી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ શો માત્ર બિઝનેસ પૂરતો મર્યાદિત ન રહેતા, વિજ્ઞાન, કલા, સામાજિક સેવા અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લોસ એન્જલસમાં ભારતીય સમુદાયના નેતા તરીકે યોગી પટેલની સક્રિયતાએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને વ્યાપારિક શક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
અમદાવાદ સહિત સમગ્ર દેશમાં બાળકોમાં આંખની ‘માયોપિયા’ (દૂરનું ધૂંધળું દેખાવું) ની બીમારી ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડાકીય માહિતી મુજબ, ભારતના શહેરોમાં 5 થી 15 વર્ષના બાળકોમાં માયોપિયાનું પ્રમાણ વર્ષ 1999 માં 4.44% હતું, જે 2019 માં વધીને 21% થઈ ગયું છે. નિષ્ણાંતોના મતે વર્ષ 2050 સુધીમાં આ પ્રમાણ 48.14% સુધી પહોંચવાની શક્યતા છે. આ બીમારીના મુખ્ય લક્ષણોમાં આંખમાં થાક, માથાનો દુખાવો અને આંખ મીંચીને જોવાની ટેવનો સમાવેશ થાય છે. 'AGOS SUMMIT-2026' નું આયોજન આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ઓલ ગુજરાત ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા 7 અને 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમદાવાદના મણિનગર, કાંકરિયા સ્થિત એકા એરેના ક્લબ ખાતે બે દિવસીય 'AGOS SUMMIT-2026' કોન્ફરન્સ યોજાશે. આ સમિટમાં ગુજરાત અને ભારતના વિવિધ શહેરોમાંથી 450 થી વધુ આંખના નિષ્ણાંત તજજ્ઞો ભાગ લેશે. તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો પર મંથનઆ કોન્ફરન્સમાં નિષ્ણાંતો બાળકોમાં વધતી માયોપિયાની બીમારી રોકવાના ઉપાયો અને આધુનિક સારવાર અંગે ક્લિનિકલ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત કોન્ટ્રોવર્સી ઇન ઓપ્થેલમોલોજી, ફ્યુચર ઓફ ઓપ્થેલમોલોજી અને પ્રેક્ટિસ મેનેજમેન્ટ જેવા વિષયો પર પણ સંવાદ યોજાશે. આયોજકો અને પ્રેસ કોન્ફરન્સ આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવા માટે સોસાયટીના માનદ સેક્રેટરી ડો. જગદીશ રાણા, પ્રમુખ ડો. વિષ્ણુ પટેલ, ટ્રેઝરર ડો. ભાવિક ઝાલા, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. પાર્થ રાણા, ડો. ભૌમિક રાવલ, ડો. મીહિર પટેલ અને ડો. આશિષ સકસેના ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે 6 ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે 3.00 કલાકે એકા ક્લબના 6 ઠ્ઠા માળે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં વધુ એક વખત શ્વાનનો આતંક જોવા મળ્યો છે. વાલક પાટિયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડ્યા હતા અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા બાળકને વધું સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યા હાલમાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ હતું. સુરત શહેરમાં અગાઉ એક પછી એક માસુમ બાળકો ઉપર શ્વાનોના હુમલાઓના ઉપરાછાપરી બનાવો બનતા પાલિકા તંત્ર સફાળે જાગી ગયું હતું અને ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી હતી,જોકે બાદમાં અસરકારક કામગીરી ઠપ થઈ ગઈ હતી. 4 થી 5 કૂતરાએ હુમલો કરતા બાળક લોહીલુહાણમળતી માહિતી મુજબ, સુરત શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા ખાતે આવેલ કરૂણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યા જ રહેતા હિમલ બાયકનો પુત્ર ગણેશ (ઉ.વ.3.5 ) નાઓ આજે સવારે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ધસી આવેલા 4થી 5 જેટલા શ્વાનો તેની ઉપર પર તૂટી પડ્યા હતા અને હુમલો કરી તેના શરીરે બચકા ભરવાંનું ચાલુ કર્યા હતા. લોકોએ દોડી આવીને શ્વાનને દૂર કરી બાળકને બચાવ્યુંશ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કણસી રહ્યો હતો, ત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા શ્વાનોને ભગાડ્યા હતા અને બાળકને વધુ બચકાથી બચાવવામાં આવ્યું હતું, પરંતુ શ્વાનોએ બાળકના માથા અને શરીર ઉપર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોકી ગયા હતા, તેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતુ. ગંભીર રીતે ઘવાયેલા બાળકને 30 ટાંકા લેવા પડ્યાવધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યુ હતું કે શ્વાનોએ બાળકને માથા અને શરીરના અલગ અલગ ભાગોમાં અનેક બચકા ભર્યા હતા.જેને કારણે તેને માથા અને શરીરના ભાગે 30થી 35 જેટલા ટાકા લાગ્યા છે. અને હાલમાં તે સારવાર હેઠળ છે. એક કુતરા પાછળ રૂ. 1268નો ખર્ચ કર્યો, છતાં પણ પરિણામ શૂન્ય શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખી પાલિકાએ કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી. જેના અંતર્ગત પાલિકાએ ત્રણ વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. બે એજન્સીઓ દ્વારા 44 હજારથી વધુ કૂતરાઓનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવ્યું છે. પાલિકાએ એક કુતરા પાછળ 1268 રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. આ સમાચાર પણ વાંચોઃરખડતા શ્વાને ઓચિંતા આવી બાળકના પગે બચકું ભર્યું, CCTV વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ પર આવેલી સહયોગ સોસાયટીમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે, જ્યાં સ્કૂલે જઈ રહેલા માસૂમ બાળક પર એકસાથે ચાર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક બચવા માટે ભાગે છે, પરંતુ શ્વાનો તેને નીચે પાડી દઈ બચકાં ભરે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજ્યના સર્વાંગી વિકાસના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે, શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરેન્દ્રનગરની મુલાકાત લેશે. તેઓ રૂ. 539.26 કરોડના કુલ 33 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ બપોરે 3:30 કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વિવિધ સરકારી વિભાગો દ્વારા હાથ ધરાયેલા આ પ્રકલ્પો શહેર અને જિલ્લાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે રૂ. 457.21 કરોડના ખર્ચે 25 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો ભવિષ્યમાં સુરેન્દ્રનગરની આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. ખાતમુહૂર્ત થનારા કામોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. 233.34 કરોડના 23 કામો તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂ. 223.87 કરોડના 2 મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યોથી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે. વધુમાં, કુલ રૂ. 82.05 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પૂર્ણ થયેલા કાર્યો તાત્કાલિક ધોરણે જનતા માટે ખુલ્લા મુકાશે. લોકાર્પણ થનારા પ્રકલ્પોમાં શહેરી વિકાસ વિભાગના રૂ. 63.17 કરોડના 5 કામો અને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગના રૂ. 18.88 કરોડના 3 કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગના આ પ્રકલ્પો જિલ્લાના શૈક્ષણિક માળખાને નવી ઉર્જા પ્રદાન કરશે. આ અવસરે નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સર્વે ધારાસભ્યો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.
સુરતના ઉધના સ્થિત કાશીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત એક સાંકડી ગલીમાં લારી મૂકવા બાબતે થઈ હતી. ગલીમાં રસ્તા વચ્ચે એક લારી ઊભી રાખવામાં આવી હતી, જેને કારણે ટેમ્પો ચાલકને નીકળવામાં અવરોધ ઊભો થયો હતો. ટેમ્પો ચાલકે પોતાની ગાડી પસાર કરવા માટે લારી હટાવી દીધી હતી. આ બાબતે લારી ધારક અને ટેમ્પો ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોખંડના સળિયા અને હથિયારો સાથે હુમલોઘટના સ્થળે બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા હતા. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે આશરે 8થી 9 જેટલા લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલાખોરોના હાથમાં લોખંડના સળિયા અને અન્ય તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં એકબીજા પર જીવલેણ હુમલો કરતા આ દૃશ્યો જોઈને આસપાસના રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. બંને પક્ષોએ એકબીજાને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં કેટલાકને ઈજાઓ પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પોલીસ તપાસ તેજઆ સમગ્ર હિંસક ઘટના ગલીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લોકો એકબીજાને લોખંડના રોડ વડે ફટકારી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ઉધના પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને બંને પક્ષના લોકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે બન્ને પક્ષોને બોલાવી નિવેદન લીધાઉધના પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવીને તેમના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.
સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડી ત્રણ ગ્રાહકો સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. સ્પાની તપાસ કરતા કેટલીક મહિલાઓના નામ સાથેની ડાયરી અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે ગ્રાહકોને મહિલાઓના ફોટો મોકલવા માટે ઉપયોગ થતો હતો. પોલીસ કે અજાણી વ્યકિત પર નજર રાખવા માટે સ્પાની અંદર અને બહારના ભાગે સીસીટીવી અને વોચમેનની ગોઠવણ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતું હતું કૂટણખાનુંસુરતના પાલનપુર ગામ સ્થિત રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળ પરથી ત્રણ ગ્રાહકો સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દેહવ્યાપાર માટે રાખવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. સ્પામાંથી મહિલાઓના નામ સાથેની ડાયરીઓ મળીદરોડા દરમિયાન પોલીસને કાઉન્ટરના ડ્રોવરમાંથી અને ડાયરીઓમાંથી ચોંકાવનારી વિગતો મળી આવી છે. પોલીસે કુલ 4 નાની પોકેટ ડાયરી અને 1 મોટી ડાયરી જપ્ત કરી છે, જેમાં દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના નામ, ગ્રાહકોના હિસાબ અને રોજિંદા વહીવટની વિગતો લખેલી હતી. આ ઉપરાંત, અલગ-અલગ કલરના 39 ટોકન પણ મળી આવ્યા છે, જે સંભવતઃ ગ્રાહકો અને મહિલાઓ વચ્ચેના વ્યવહાર માટે વપરાતા હતા. આ ડાયરીઓ આગામી સમયમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે કડીરૂપ સાબિત થશે. પોલીસને ચકરાવે ચઢાવવા CCTV અને વોચમેનની ગોઠવણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સ્પાના સંચાલકો અત્યંત સતર્ક હતા. ગ્રાહકોની અવરજવર અને પોલીસની હલચલ પર નજર રાખવા માટે હોલ અને બહારના ભાગે કુલ ત્રણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેનું DVR પણ પોલીસે કબ્જે કર્યું છે. એટલું જ નહીં, રેડ દરમિયાન જાણવા મળ્યું કે વિપિન ઉર્ફે રિંકુ શાહુ નામનો યુવક બહાર લોબીમાં ઊભો રહીને સતત વોચ રાખતો હતો જેથી પોલીસના આગમનની જાણ અગાઉથી થઈ શકે. ગ્રાહકોના ચાર ફોન સહિત કૂલ 11 ફોન કબજે લેવાયાપોલીસે જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ કઢંગી હાલતમાં મળી આવી હતી. તેમની પાસેથી અને કાઉન્ટર પરથી દેહવ્યાપારના પુરાવા તરીકે ગ્રાહકોને મોકલવામાં આવતા મહિલાઓના ફોટા ધરાવતા 11 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ઉપરાંત, 8,500 રોકડા, વપરાયા વગરના કોન્ડોમ અને લાઈટ બિલ જેવી વસ્તુઓ પણ કબ્જે લેવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના નામપોલીસે આ મામલે સ્થળ પરથી બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય માલિક હજુ ફરાર છે.શુદ્રો બાબુરાવ ચક્રબોર્તી (ઉ.વ. 26): સ્પાના મેનેજર તરીકે કામ કરતો આ યુવક અડાજણ વિસ્તારની ક્રિસ્ટલ સોસાયટીમાં રહે છે. તે ગ્રાહકો સાથે સોદાબાજી કરી દેહવ્યાપાર કરાવતો હતો.વિપિન ઉર્ફે રિંકુ જગદીશ શાહુ (ઉ.વ. 23): મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી આ યુવક સ્પામાં મજૂરીકામ સાથે બહાર લોબીમાં વોચ રાખવાનું કામ કરતો હતો.આકાશ અંકુશભાઇ ધનાવડે (માલિક): સ્પાનો મુખ્ય માલિક જે હાલ પોલીસ પકડથી દૂર છે. તે પાલનપુરની નીલકંઠ રેસીડેન્સી પાસે રહે છે.ગ્રાહકો: દરોડા દરમિયાન કરણ દીપકભાઈ શાહ (પાલ, સુરત), વીરસિંગ શાંતિજી કોળી (સફાઈ કામદાર, ભટાર) અને ઉમેશ દિલીપ શર્મા નામના ઇસમો ગ્રાહક તરીકે રંગેહાથ ઝડપાયા હતા. સ્પા માલિકની શોધખોળ હાથ ધરવામાં આવીઆ સમગ્ર મામલે પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ 'ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956' (ITPA) ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143 અને 144 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર માલિક આકાશ ધનાવડેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લામાં બદલાતા હવામાનની કેસર કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવત, ઝાકળ અને ધુમ્મસના કારણે ફ્લાવરિંગમાં સમસ્યાઓ ઊભી થઈ છે. પરિણામે, ખેડૂતોને કેરીનું ઉત્પાદન ઘટવાની આશંકા સતાવી રહી છે. ખાસ કરીને ધારી તાલુકા અને આસપાસના ગીર પંથકમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ વર્ષે આંબાના ઝાડ પર સામાન્ય કરતાં વહેલું અને સારું ફ્લાવરિંગ થયું હતું, જેના કારણે ખેડૂતોમાં ઉત્તમ પાકની આશા જાગી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં અચાનક થયેલા ફેરફારોએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. ઝાકળ અને ધુમ્મસને કારણે આંબાના ફ્લાવરિંગને ભારે નુકસાન થયું છે. કેસર કેરીના ફ્લાવરિંગમાં ભૂકીછારો નામનો રોગ ફેલાયો છે, જેનાથી ફ્લાવરિંગ બળીને કાળું પડી રહ્યું છે. અગાઉ પડેલા કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડું થઈ ગયું હતું. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આંબાના ઝાડને ગરમીની જરૂરિયાત હોય છે, પરંતુ વરસાદ અને ઠંડકના કારણે તેની નકારાત્મક અસર હાલ ફ્લાવરિંગ પર પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે, શરૂઆતમાં સારું ફ્લાવરિંગ હોવા છતાં, ચાલુ સીઝનમાં કેરીનો ઉતારો ઓછો આવશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેનાથી બાગાયતી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દિતલા ગામના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, ઓણની સાલ આવું બન્યું છે આવું ક્યારેક બન્યું નથી દિવાળી ઉપર વરસાદ પડવાના કારણે તેના કારણે વાતાવરણ ઠંડુ થયું છે. આંબાને કેસરને જે ગરમી જોઈએ જે ભાદરવા મહિનામાં ઋતુ હોય તે ગરમી પડી નહિ અને વાતાવરણ ઠંડુ થવાના કારણે જે ફાલ આવવો જોઈએ તે આવ્યો નહીં અને જે ફાલ આવ્યો છે, જે અત્યારે વાતાવરણના મેઘરવું અને ઝાકળ વધારે આવે છે જેના કારણે મોર બળી જાય છે અને ભૂકીછાળ નામનો રોગ બોવ આવે છે જેના કારણે તે ફાલ પણ ઓછો થશે. અમરેલી જિલ્લા બાગાયતી અધિકારી અરૂણ કુરમુરે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં 8 હજાર હેકટર જેટલું આંબાનું વાવેતર કરેલ છે. હાલમાં વાતાવરણ છે જેમાં ઠંડી અને ગરમીનો તફાવત વધતો જાય છે. હાલમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ જોવા મળે છે. આંબા પાકની અંદર ભૂકીછાળ નામનો રોગની શકયતા છે. જીવાતની અંદર ચિફ્સ મધ્યાનો ઉપદ્ર વધુ થવાની સંભાવના છે તેના માટે નિયંત્રણના પગલાં લેવા જોઈએ. ભૂકીછાળ માટે ખેડૂતોએ કાર્બનદેન્ઝીમ નામની દવાઓ વાપરવી જોઈએ. મધ્યો નામના રોગ મટે ખેડૂતોએ નિમ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ.
રશિયાના બદલે વેનેઝુએલાનું ઓઈલ ખરીદવા મુદ્દે ભારત સરકારે આપ્યો જવાબ
India on Russian Oil : રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પર ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સાફ કરી દીધું છે કે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. ટ્રમ્પનો દાવા સામે ભારતનો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયાના બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 140 કરોડ ભારતીયોની 'એનર્જી સિક્યોરિટી' સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી:ત્રણ કેદીઓ થયા ઈજાગ્રસ્ત, એક કેદી રાજકોટ રિફર
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં કેટલાક કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે એક કેદીને રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો હથિયારો વડે કરવામાં આવ્યો હતો. યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગર સબ જેલની ક્ષમતા 125 કેદીઓની છે, પરંતુ હાલમાં 300થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ધાંગધ્રા સબ જેલ બંધ થવાને કારણે ત્યાંના કેદીઓને પણ સુરેન્દ્રનગર જેલમાં ખસેડવામાં આવ્યા છે, જેના કારણે કેદીઓ વચ્ચે ઘર્ષણની ઘટના થઈ હોવાની શક્યતા છે. ઘટના બાદ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે, કારણ કે ઈજાગ્રસ્ત કેદીઓ ગંભીર ગુનાઓના આરોપીઓ છે. તેઓ હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સિટી પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને અધિકારીઓએ સબ જેલની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, કેટલાક કેદીઓ જેલમાંથી બહાર આવવા અથવા જેલનું તંત્ર બગાડવાના પ્રયાસરૂપે આવા હુમલા કરી રહ્યા છે. સિટી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. જેલ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા બગાડતા કેદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં આવા કેદીઓને અમદાવાદની સાબરમતી જેલ અથવા અન્ય જેલોમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રેલવે લાઇન પાસે આગનો કોલ મળતા વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આગ રેલવે ટ્રેકની ખુબજ નજીક હોવાથી રેલવેના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. આ કાર્યવાહીમાં GIDC ફાયર સ્ટેશનની ટીમે રેલવે લાઈન પાસે રહેલ કચરાના ઢગલામાં લાગેલી આગ વધુ ફેલાય તે પહેલા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. શહેરના વડસર રેલવે લાઈન પાસે કચરાના ઢગલામાં આગ લાગી હોવાનો કોલ મળતા જ તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ આગ રેલવે લાઈન પાસે આવેલા કચરાના ઢગલામાં હોવાથ રેલવે તંત્ર પણ થયું દોડતું થયું હતું. કચરાના વિશાળ ઢગલામાં આગ લાગતા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સદ નસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં ગુરુનાનક સ્કૂલ પાસે આવેલી શિલ્પ રેસીડન્સીમાં સોસાયટીની કોમન લાઇટની કેનાલમાં આગ ભભૂકી હોવાની વિગતો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળતા તાત્કાલિક ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી. આ આખી આગ પેનલમાં હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. જો કે આ આગ કોમન લાઈટના પેનલમાં હોવાથી મોટું નુકસાન અટક્યું છે.
સાબરકાંઠા SOGએ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં રાજસ્થાનનો એક બાળ કિશોર પણ સામેલ છે. તેમને હિંમતનગરના વિજાપુર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. સાબરકાંઠા SOGના PI ડી.સી. પરમારે જણાવ્યું હતું કે, SOG PI, PSI અને સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ અને ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અનિરુદ્ધસિંહ અને હરપાલસિંહની સંયુક્ત બાતમી મળી હતી કે, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓ હિંમતનગર બાયપાસ રોડ પર વિજાપુર જતા રોડ પર ઉભા છે. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં આશીષ રામેશ્વર તબીયાડ, દિલીપકુમાર અશ્વિનભાઇ તબીયાર, સિકંદરકુમાર બંસીલાલ પાંડોર, દીલીપકુમાર થાવરાજી ભીલ, સચીન શાંતીલાલ ખરાડી (તબીયાડ), હિતેશ ઉર્ફે અંકુશ નાથુભાઇ શકરાજી તબીયાડ, અંકુશ રાજેશભાઇ જોષીયારા (તમામ રાજસ્થાનના રહેવાસી) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.
જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વિલીંગ્ડન ડેમમાં આજે એક આધેડે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મૃતક આધેડની ઓળખ જૂનાગઢના દૂબળી વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે, જેમની ઉંમર આશરે 57 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમના નૂર મહંમદ શેખ અને નરેશ કાઠી સહિતના સભ્યોએ ભારે જહેમત બાદ આધેડના મૃતદેહને ડેમમાં ઊંડા પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ દુખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો અને પોલીસનો કાફલો પણ વિલીંગ્ડન ડેમ ખાતે પહોંચી ગયો હતો. આધેડે કયા કારણોસર ડેમમાં ઝંપલાવીને આત્યંતિક પગલું ભર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના સાચા કારણો શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ગોધરા તાલુકાના ટીંબા ગોઠડા ગામની પોસ્ટ ઓફિસ બદહાલ હાલતમાં કાર્યરત છે. આ પોસ્ટ ઓફિસ આસપાસના 35 ગામોનો કાર્યભાર સંભાળે છે, પરંતુ તે ગોઠડા ગ્રામ પંચાયતના ઉપલા માળે માત્ર ₹200ના માસિક ભાડાના એક નાનકડા ઓરડામાં ચાલી રહી છે.જે ઓરડીમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે તે અત્યંત સાંકડી છે. અહીં આવતા અરજદારો માટે ઊભા રહેવાની કે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા નથી. આ સ્થિતિ ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. 35 ગામોના લોકો અહીં મની ઓર્ડર, બચત ખાતા અને પત્રોના વ્યવહાર માટે આવે છે. જોકે, પૂરતા ફર્નિચર કે આધુનિક સાધનોના અભાવે કર્મચારીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.વર્ષોથી આ સ્થિતિ હોવા છતાં, તંત્ર દ્વારા નવી અદ્યતન બિલ્ડિંગ કે પૂરતી સુવિધા ફાળવવામાં આવી નથી. ટીંબા જેવા મહત્વના કેન્દ્ર પર પોસ્ટ ઓફિસ માટે પોતાનું સુસજ્જ મકાન બનાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા 1358 જેટલા આસામીઓને ડિમોલિશન મામલે કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જે નોટિસને પગલે આસામીઓ પૈકી કેટલાક અરજદારો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે હાઇકોર્ટ દ્વારા અરજદારોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાનું જણાવ્યું હતુ અને તેથી દબાણ કરનારાઓને 3 માસનો સમય મળ્યો છે. આ મામલે કલેક્ટરે સરકારી જમીન પર દબાણ કરનારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કારણકે તે માટેની કોઈ જોગવાઈ નહીં હોવાનું જણાવ્યુ હતુ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણ મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટના તમામ નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. હાઇકોર્ટે અસરગ્રસ્તોને GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ)માં અપીલ કરવાની એક તક આપી છે. જોકે હાઇકોર્ટ તરફથી વહિવટી તંત્રને કોઇ ખાસ સૂચના આપવામાં આવી નથી. વૈકલ્પિક વ્યવસ્થા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કોઇ જોગવાઇ કાયદામાં નથી. તેમણે ઉમેર્યુ કે સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણ જોવા મળે છે પરંતુ દરેક વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપવી વ્યવહારિક રીતે શક્ય નથી. પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સમગ્ર કાર્યવાહી કાયદા અને હાઇકોર્ટના આદેશોને અનુરૂપ રહેશે અને કોઇ પણ નિર્ણય નિયમો અનુસાર જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલને 90 દિવસમાં અરજદારોની અપીલનો ફેંસલો કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનાથી કલેકટર તંત્ર દ્વારા તબક્કાવાર જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાનો બનાવેલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી રહી છે તેમજ કલેકટર તંત્ર દ્વારા નોટિસ ફટકારનાર આસામીઓને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા બાબતે સમય પણ આપવામાં આવ્યો હતો. સરકારી જમીનના ચાર ખંડ પૈકી બે ખંડ મ્યુનિસિપલ કમિશનર હસ્તક આવે છે. જ્યારે કે બે ખંડ કલેક્ટર હસ્તક આવે છે. ગુજરાત સરકારના જી.આર. અંતર્ગત કમિશનર હસ્તક આવતી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનારા વ્યક્તિઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જોગવાઈ છે. જ્યારે કલેકટર હસ્તક આવતી જમીનમાં ગેર કાયદેસર દબાણ કરનારા વ્યક્તિઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી. જેથી આ મામલો હાલ ગૂંચવાયો છે.
વડોદરા શહેરમાં ફરી એક વાર વન્યજીવનું જાહેર માર્ગ પર દેખાતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. મોડી રાત્રે હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર એક શાહુડી (પોર્ક્યુપાઇન) નિર્ભયપણે લટાર મારતી જોવા મળી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે મુખ્ય માર્ગ પર શાહુડી દેખાતા સ્થાનિક રાહદારીઓએ આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, શાહુડી રોડ પરથી પસાર થતી હતી, ત્યારે આસપાસના કેટલાક શ્વાનોએ તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શરીર પર કાંટા ધરાવતી શાહુડી સામે શ્વાન પાછો પડે છે. થોડી ભાગદોડ બાદ શાહુડી નિર્ભયપણે ઝાડી-ઝાંખરામાં સંતાઈ જાય છે. આ ઘટના હરણી વિસ્તારમાં આવેલા ગોવર્ધન પાર્ટી પ્લોટ પાસેના રોડ પર બની હતી. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેની આસપાસના કોતરવાળા વિસ્તારમાં મગર, શાહુડી સહિતના વન્યજીવો માટે કુદરતી આશ્રયસ્થાન બની રહ્યું છે. તાજેતરમાં જ શહેરના સમા વિસ્તારમાં શિયાળ આવી જતા કુતુહલ સર્જાયું હતું.
રાજકોટ શહરેમાં અઠવાડીયામાં બીજો પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે. શહેરના મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 ના અનેક વિસ્તારમાં શનિવારે પાણી નહીં આવે. વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન ખાતે GSR સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણનું કામ કરવાનું હોવાથી પાણીકાપ મુકાયો છે. 31 જાન્યુઆરી, 2026ના રોજ વોર્ડ નં. 4, 5, 7 અને 14 સહિત 4 વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
ભાજપના નેતાઓ દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકાર મતદાનથી વંચિત રાખી ચૂંટણી જીતવા ગેરકાયદેસર રીતે મતદાર તરીકે કેન્સલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ મામલે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કહ્યું: ભાજપના નેતાઓએ સયાજીગંજ વિસ્તારમાં 8000 લોકોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી જીતવા હલકી કક્ષાની કામગીરી કરી છે, તેના માટે ભાજપ માફી માંગે અને ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, SIRની કામગીરીમાં વાંધા સૂચન માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. ભાજપના નેતાઓ દ્વારા ભારતના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા અને ખોટો ડેકલેરેશન કરીને સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં 8000 મતદારોના મતદાનના અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકશાહીમાં કોઈ નાગરિકને મતદાન કરતા રોકવો મોટો ગુનો છે. ભાજપના નેતાઓ ચૂંટણી જીતવા માટે આ પ્રકારની હલકી કક્ષાની કામગીરી કરી છે. તેના માટે ભાજપ પહેલા તો માફી માંગે, PM વડાપ્રધાન મોદી, અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ SIRમાં આવી સૂચના કેવી રીતે આપી શકે? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે 108 લોકોનું લિસ્ટ લાવ્યા છીએ , અમને 100, 200 અને 500 એપ્લિકેશન કરી છે કે, આ ભાઈનું મતદાન કેન્સલ કરો. અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે. પરંતુ આ લોકો સામે કાયદાકીય પગલાં લેવાય, એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે. તેની જવાબદારી વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારીની છે, આ પ્રકારના લોકો સામે ફરિયાદ દાખલ થાય, અને સજા પણ થાય, બે દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે મુખ્ય ચૂંટણી અધિકારી સામે પોલીસ કાર્યવાહીની માંગણી કરીશું. આજે મતદારો અન્ય આવ્યા છે અને કહ્યું છે કે, હું તો જીવતો છું, તો તમે અરજી કેવી રીતે કરી? આવા લોકો સામે પોલીસ ફરિયાદ થાય તે માટે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અરજદાર સમીર હુસૈન શેખે જણાવ્યું હતું કે, SIRના ફોર્મ 7માં એક બુથમાં 200 -200 અરજીઓ આપી છે. જેમાં કહેવાયું છે કે, આ લોકો રહેતા નથી, આ લોકો મરી ગયા છે. આવા લોકોને તમે લઈને આવ્યા છે. અને આ મામલે કલેક્ટરને રજૂઆત કરી છે. જ્યાં મુસ્લિમ મતદારો વધુ છે ત્યાં વધારે અરજીઓ કરવામાં આવેલી છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ પણ કરીશું.
જામનગરમાં રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકી સક્રિય:શહેરીજનો ભયમાં, પોલીસ કાર્યવાહીની માંગ
જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી 'ધૂમ ગેંગ' સક્રિય થઈ છે. ગત મંગળવારે રાત્રે 1.00 વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા અને દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થયા હતા, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળકી ચીચીયારીઓ પાડતી અને બેફામ ડ્રાઇવિંગ કરતી નીકળી હતી. આ વાહનચાલકો સ્પીડ બ્રેકર પરથી પણ બેફામ રીતે પસાર થતા હતા, જેનાથી પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. તેમને જાણે પોલીસ કે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ અડધી રાત્રે ઓવર સ્પીડમાં રસ્તાઓ પરથી પસાર થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. લોકોની સલામતીને જોખમમાં મૂકતી આ ટોળકી સામે પોલીસે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. શહેરમાં વિવિધ પોઈન્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને આ 'ધૂમ ગેંગ'ના સભ્યોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિવેક કુસવાહ કલ્લુ કુસવાહ (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા 1.50 લાખ જમા થયા હતા જેના માટે તેને રૂપિયા 2000 કમિશન મળ્યું હતું. રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના ફરિયાદી ડો. ચિન્મય ત્રિવેદીએ નોકરી માટે ઓસ્ટ્રેલિયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-2025 ડ્રીમ કમ ટુ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે જાહેરાત આવી હતી અને તેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેને હોસ્પિટલ વિશે માહિતી આપી ડોક્યુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે 2100 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.1.20 લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો તેમા જણાવેલી ફી 28,400 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.16.50 લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્કર કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું આરોપીએ જણાવાયું હતું. સાથો સાથ પ્લાનિંગ બફર અને એપ્લિકેશન એન્ડ ફોરવર્કીંગ માટે 12,879 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.7.50 લાખ)ની માગણી કરતા ફરિયાદીએ તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને 41,000 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.24 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. આરોપીને રૂપિયા 2000નું કમિશન મળ્યું હતું આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું જેથી સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી મધ્યપ્રદેશના આરોપી વિવેક કુસવાહ કલ્લુ કુસવાહ (ઉ.વ.20)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીના એકાઉન્ટમાં ફ્રોડની કુલ 1.50 લાખ રકમ ટ્રાન્સફર થઇ હતી જેના બદલામાં આરોપીને રૂપિયા 2000નું કમિશન મળ્યું હતું. આ ઉપરાંત અન્ય આરોપીઓની સંડોવણી અંગે સાયબર ક્રાઇમ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ ભાજપના નવા હોદ્દેદારોનું સન્માન:જિલ્લા પંચાયત ખાતે સમારોહ યોજાયો
પંચમહાલ જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તાજેતરમાં થયેલી નવી વરણી બાદ ગોધરા તાલુકાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત, પંચમહાલ દ્વારા આયોજિત કરાયો હતો.આ સમારોહમાં પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ સરદારસિંહ પટેલ, પરેશ ચોહાણ, કિજલબેન સંઘાડા, મણીબેન અને હર્ષદભાઈ મહેરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ મોરચાના તાલુકા હોદ્દેદારો અને તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે એ.પી.એમ.સી. ગોધરાના ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલા માલવદીપસિંહ રાઉલજી (પિન્ટુ બાપુ)નું વિશેષ સન્માન કરાયું હતું. તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સન્માન સમારંભમાં જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી સહિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે નવનિયુક્ત હોદ્દેદારોને નવી જવાબદારીઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પાર્ટીના વિકાસ માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં ભાજપ સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોને તેમની નવી ભૂમિકામાં સફળતા મળે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી. આશા વ્યક્ત કરાઈ હતી કે તેઓ પાર્ટીના વિકાસ અને જનસેવાના કાર્યોમાં સક્રિયપણે જોડાશે.
સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે એક સુઆયોજિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ટેકનોલોજી અને માનવબળનો સમન્વય જોવા મળ્યો હતો. પોલીસની ટીમો જ્યારે જમીન પર 100થી વધુ પ્લાસ્ટિકના ઝૂંપડાઓમાં તપાસ કરી રહી હતી ત્યારે આકાશમાં ડ્રોન કેમેરા સતત નજર રાખી રહ્યા હતા. આ ડ્રોન સર્વેલન્સનો મુખ્ય હેતુ એ હતો કે ગીચ વિસ્તારોમાં તપાસ દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વ પોલીસને જોઈને નાસી ન જાય. ઝૂંપડપટ્ટી અને શંકાસ્પદો પર વોચપોલીસે ખાસ કરીને ભેસ્તાનના સંવેદનશીલ ગણાતા 3 જેટલા મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. અહીં રહેતા લોકોની ઓળખની ખાતરી કરવા માટે કુલ 78 શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ડ્રોન દ્વારા એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઝૂંપડાઓની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી ચાલી રહી ને? બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ કાર્યવાહીગુનાખોરીના ગ્રાફને નીચે લાવવા માટે પોલીસે લિસ્ટેડ ગુનેગારો પર પકડ મજબૂત કરી હતી. આ ઓપરેશનમાં 12 પ્રોહી બુટલેગરો અને 06 હિસ્ટ્રીશીટરોને શોધીને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 4 ટપોરી ગણાતા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમકતાને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી કોમ્બિંગ દરમિયાન પોલીસને અનેક સફળતા મળી હતી. જેમાં જી.પી. એક્ટ કલમ-135 હેઠળ 10 કેસ, પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ 10 કેસ અને તમાકુના નિયમોના ભંગ બદલ 6 રસીદ કાપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, તડીપાર કરાયેલા હોવા છતાં વિસ્તારમાં દેખાયેલા 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે 12 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. વાહન ચેકિંગ અને જાહેર સ્થળોની તપાસરસ્તાઓ પર ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે 67 જેટલા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અસામાજિક તત્વોના અડ્ડા ગણાતી 13 જેટલી ચાની ટપરીઓ અને પાન-મસાલાના ગલ્લાઓ પર પોલીસે ઓચિંતી તપાસ કરી હતી. આ ઓપરેશનમાં 18 MCR (ક્રિમિનલ રેકોર્ડ) ચેક કરવામાં આવ્યા હતા અને 03 નાસતા ફરતા આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ, આંકડાકીય રીતે જોઈએ તો ભેસ્તાન પોલીસે આ કોમ્બિંગ દ્વારા ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા મેળવીને બહાર આવ્યા બાદ નિયત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયેલા ખૂની આરોપી જાબીર સિદ્દીકભાઈ પિલુડીયા (ઉં.વ. 28)ને સુરતના પુણા પાટીયા વિસ્તારમાંથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મોરબીનો આ રીઢો ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને સુરતમાં વસવાટ કરવાની પેરવીમાં છે. આરોપીએ 2020માં યુવકની હત્યા કરી હતીઆ કેસની વિગત એવી છે કે, આરોપી જાબીર પિલુડીયા મૂળ મોરબીનો રહેવાસી છે. 2020માં તેણે મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. મોટરસાઈકલ પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે પડોશમાં રહેતા અનીશભાઈ સાથે તેનો ઝઘડો થયો હતો. આવેશમાં આવીને જાબીરે પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ પર આડેધડ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા 8 ઓગસ્ટ, 2025ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેલમાંથી ફર્લો રજા લીધી અને ફરાર થઈ ગયોરાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા જાબીરે જેલના નિયમો મુજબ 12 જાન્યુઆરી, 2026ના રોજ 14 દિવસની ફર્લો રજા મેળવી હતી. રજા પૂર્ણ થતા તેણે 26 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ ગુનાહિત માનસ ધરાવતા જાબીરે ફરીથી મુક્ત હવામાં ફરવાના ઈરાદે જેલમાં હાજર થવાનું ટાળ્યું અને ફરાર થઈ ગયો. આ અંગે જેલ અધિક્ષકે પોલીસને જાણ કરી હતી, જેના આધારે રાજ્યભરમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઓળખ છુપાવવા સુરતને બનાવ્યું સુરક્ષિત આશ્રયસ્થાનપોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શા માટે સુરત આવ્યો હતો. આરોપી જાબીરના મનમાં એવો વહેમ હતો કે સુરત એક મોટું શહેર છે અને અહીં લાખોની વસ્તીમાં તેને કોઈ ઓળખશે નહીં. તે છેલ્લા ચાર દિવસથી સુરતમાં ચોરી-છુપીથી રહેતો હતો. તે અહીં કોઈ નાનું-મોટું કામ શોધીને કાયમી વસવાટ કરવાની અને કાયદાના હાથથી બચવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, સુરત પોલીસની સક્રિયતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ ગયો છે. પોલીસની કાયદેસરની કાર્યવાહીનાસતા ફરતા સ્કોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને પુણા પાટીયા નજીકથી કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. હાલમાં આરોપીનો કબજો મેળવી તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા
PM Modi Parliament News : સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. બુધવારે સાંજે 5 વાગ્યે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. પરિણામે, વડાપ્રધાનના ભાષણ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો 'ધન્યવાદ પ્રસ્તાવ' મંજૂર કરી લેવામાં આવ્યો છે. 2004 પછી પ્રથમવાર આવી ઘટના સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી (5 ફેબ્રુઆરી) ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આજના દિવસે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપતા જોવા મળ્યા. આજે પરીક્ષા બે શિફ્ટમાં યોજાઈ હતી. સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ. જ્યારે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફિઝિક્સની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. ફિઝિક્સ-કેમેસ્ટ્રી વિષયમાં અંદાજે 7,720 વિદ્યાર્થીની પરીક્ષાશહેરની નવરંગપુરા સ્થિત એ.જી. હાઈસ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના માનસિક દબાણ વગર પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શહેરમાં કુલ 25 જેટલા પરીક્ષા કેન્દ્રો પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાં અંદાજે 7,720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે બાયોલોજી વિષયમાં 4,000 થી 4,500 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ: DEO જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આજથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની માટે વિદ્યાર્થીઓને શુભેરછાઓ પાઠવી અને તેમને થોડાક સૂચનો કર્યા.
વડોદરા મહાનગર પાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે આજે ચિંતને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે પાલિકા અને વહીવટી તંત્ર સાથે EVM કંપની સાથે માળીને ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે EVM બનાવતી કંપનીના અધિકારીઓ અને વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે મળી ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયું હતું. પાલિકાના 40 કર્મચારીઓ સાથે મળી ઈવીએમ ચેક કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શહેરના દક્ષિણ ઝોનની કચેરી ખાતર યોજવામાં આવ્યો હતો. ત્યારે કહી શકાય કે પાલિકાની ચૂંટણીનો ધમધમાટ આજથી શરૂ થયો છે. આ અંગે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. રાજપૂતે જણાવ્યું હતું કે, આ વર્ષે આપ બધા જ જાણો છો એ મુજબ કોર્પોરેશનની ઈલેક્શનની તૈયારીઓ આપણે શરૂ કરી છે. ગુજરાત ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ઈવીએમ (EVM) બનાવનાર કંપની બેલના એન્જિનિયરો દ્વારા પ્રથમ લેવલનું ચેકિંગ (FLC) આગામી મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી કોર્પોરેશનમાં શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, ઈવીએમ બનાવનાર કંપની બેલ તરફથી ગુજરાત ચૂંટણી પંચ દ્વારા 10 એન્જિનિયરો ફાળવવામાં આવ્યા છે. આ સાથે તેમની મદદગારી માટે કોર્પોરેશનનો 30 થી 40 લોકોનો સ્ટાફ પણ સામેલ છે. આ કામગીરી આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.
રાજકોટ જિલ્લામાં ખૂબ જ વિવાદો વચ્ચે SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંતર્ગત ફાઇનલ મતદાર યાદી તૈયાર થઈ રહી છે. જેમાં 23.91 લાખમાંથી 6.50 લાખ જેટલા નો મેપિંગ અને લોજીકલ સમસ્યા વાળા મતદારો છે કે જેમના નામ વર્ષ 2002 ની મતદાર યાદી સાથે મેચ થયા નથી. આ દરમિયાન મતદાર યાદીમાંથી નામ રદ કરવા બોક્સ ભરીને ફોર્મ 7 આવતા ઊહાપોહ મચી ગયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો કે આ ભાજપનું ષડયંત્ર છે તેવામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ 6 તેમજ મતદારો શિફ્ટ થયા હોય તેવા કિસ્સામાં ફોર્મ 8 મળી કુલ 17000 અરજીઓ આવ્યાનું આજે 5 ફેબ્રુઆરીના કલેકટરે જણાવ્યુ હતુ. જોકે આ દરમિયાન જેમના નામ 2002 ની મતદાર યાદી સાથે મેચ થયા નથી તેવા મતદારોએ આધારકાર્ડ સહિતના પોતાના આધાર પુરાવાઓ અગાઉ બુથ લેવલ ઓફિસરને આપી દીધા બાદ પણ વહીવટી તંત્રે નોટિસ આપી રૂબરૂ હીયરિંગમાં બોલાવવામાં આવ્યા. જેથી 95 ટકા મતદારો હિયરિંગમાં આવ્યા ન હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં નો મેપિંગવાળા કેસમાં હોયરિંગ ચાલી રહ્યું છે. 2002 ની મતદાર યાદી સાથે જેમનું નામ મેપ થઈ શક્યું નથી તેમને નોટિસ આપી સુનાવણી ચાલી રહી છે. જેમાં મતદાર દ્વારા મતદાતા તરીકે પોતાના આધાર પુરાવાઓ રજૂ કરવાના હોય છે અને ત્યારબાદ નક્કી થશે કે તેઓ મતદાર તરીકે રહેશે કે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, આ કામગીરી 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે. જે બાદ 10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મતદાર યાદીને અપડેટ કરવામાં આવશે. જે પછી ફાઈનલ મતદાર યાદી પબ્લિશ થશે. ફોર્મ 6, 7 અને 8 જે ભરવામાં આવ્યા છે તેમાં હિયરિંગ કામગીરી હાલ ચાલુ છે. જેમાં 17000 થી વધુ ફોર્મ ભરાયા છે. ફાઇનલ કેટલા નામ મતદારયાદી નથી રદ થયા છે તે ફાઇનલ મતદાર યાદી જાહેર થશે ત્યારે જ ખ્યાલ આવશે. નો મેપિંગ અને લોજિકલી સમસ્યાવાળા 6.50 લાખ મતદારો છે કે જેમના નામ 2002 ની મતદાર યાદી સાથે મેપિંગ થઈ શક્યા નથી. જાણવા મળતી વિગત મુજબ, ફોર્મ 6 જે નવા મતદારોના નામ ઉમેરવા માટે છે જેમાં મતદારનું આધાર કાર્ડ અને લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. જ્યારે ફોર્મ 7 માત્ર કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો જ નામ રદ કરવા માટે હોય છે. જોકે આમ છતાં અન્ય કારણોથી બોક્સ ભરીને ફોર્મ 7 ભરીને આપવામાં આવ્યા છે. જે અયોગ્ય છે. આમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા તે ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે જોકે આ નામો રદ થશે તેવી શક્યતા ઓછી છે. જે મતદારોના નામ મેપ થઈ શક્યા નથી તેઓએ બુથ લેવલ ઓફિસરને અગાઉ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપી દીધા હતા જોકે ત્યારબાદ પણ વહીવટી તંત્ર દ્વારા આ મતદારોને નોટિસ આપી રૂબરૂ બોલાવવામાં આવ્યા. જોકે 6.50 લાખમાંથી 95 ટકા મતદારો હિયરિંગમાં હાજર ન થયા હોવાનું સામે આવ્યુ છે. જેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે તેમનું મતદાર તરીકે નામ યથાવત રાખવામાં આવી રહ્યું છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. અંગદાનની તેમની ઈચ્છા હોવા છતાં હાર્ડ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) આવતાં માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે અને આજે બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના જ્યારે લગ્ન લખવાના હતા ત્યારે જ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગતરોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. આજરોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી, તે દિવસે જ તેઓએ અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. કાર્ડિયાક અરેસ્ટ આવતા અંગદાન ન થઈ શક્યુંતુષાર ઘેલાણીના અવસાનના સમાચાર મળતાં જ 'ડોનેટ લાઇફ' સંસ્થાના પ્રતિનિધિઓ મહાવીર હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમના મિત્ર વર્તુળમાં ઉદ્યોગકાર મુકેશ પટેલ અને મહેશ સવાણી સહિત અનેક મોટી હસ્તીઓએ હોસ્પિટલમાં પહોંચીને પરિવારને સાંત્વના આપી હતી. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે અંગદાન ન થઈ શક્યું અને માત્ર આંખો (ચક્ષુદાન) જ લેવામાં આવ્યા છે. બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશેતુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જાણીતા નામ હતા અને તેમના અવસાનથી શહેરના બિલ્ડર અને ઉદ્યોગકાર વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવાર અને મિત્રોમાં ભારે શોકનો માહોલ છે. અંતિમ યાત્રા આજે બપોરે 2:30 વાગ્યે કાઢવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે એવી શક્યતા છે. આ ઘટના અંગદાનના મહત્વ અને તેની સમયસર પ્રક્રિયાને લઈને પણ ચર્ચા જગાવી રહી છે. તુષાર ઘેલાણીના પરિવારે તેમના અંગદાનની ઈચ્છાને માન આપીને ચક્ષુદાન કર્યું છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. આ પણ વાંચો- 9 MMની ગોળી બિલ્ડર તુષાર ઘેલાણીના મગજની આરપાર, સ્થિતિ નાજુક
ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવેલ છે. વિવાદિત જમીન અમદાવાદના મહત્વના સ્થળે આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા મોટેરાએ શહેરના રમતગમત અને શહેરી ભવિષ્યના કેન્દ્રબિંદુ તરીકે સ્થાન મેળવી લીધું છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને લાંબા ગાળે ઓલિમ્પિક્સ માટેના સપનાઓ પોષી રહ્યું છે ત્યારે આ જમીન પાછી મળવી મહત્વપૂર્ણ છે. ધાર્મિક ઉપયોગ માટે આપેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરી ગઈકોર્ટ સમક્ષ રાજ્ય સત્તાવાળાઓએ એક મજબૂત હકીકત આધારિત રજૂ કરી હતી કે દાયકાઓ પહેલાં માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે આપવામાં આવેલી જમીન ધીમે ધીમે તેની કાયદેસર સીમાઓને પાર કરતી ગઈ હતી. જમીન ફાળવણી સાથે જોડાયેલી શરતો સ્પષ્ટ હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને જરૂરી મંજૂરીઓનું કડક પાલન કરવામાં આવશે. તેમ છતાં તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. આશ્રમને અનેક વખત નોટિસ અપાઈરાજ્ય સરકાર તરફથી હાજર થયેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે આ કોઈ અચાનક લેવામાં આવેલ પગલું કે વહીવટી અતિશયતા નથી. પરંતુ ન્યાયસંગત, ધીરજ યુક્ત નિર્ણય પ્રક્રિયાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આશ્રમને કાયદેસર જરૂરી કરતાં પણ વધુ વખત નોટિસ આપવામાં આવી, એક પછી એક સુનાવણીઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે જાહેર જમીનને ઇંચે ઇંચે અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય હોઈ શકે નહીં. 30થી વધુ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરાઈ હતીજમીનના દુરુપયોગ અંગે જાહેર ચિંતા વધતાં સત્તાવાળાઓએ પણ પગલાં લીધા હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્થિત આશ્રમમાં આવેલી 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ખાસ કરીને આવા સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં અટવાયેલી વિશાળ જમીન હવે રાજ્ય સરકારના નિયંત્રણમાં પાછી આવવાની દિશામાં છે. એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી હતી અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી હતી. આસારામ આશ્રમના ગેરકાયદે બાંધકામ દૂર થશે કે નહીં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને આશ્રમ દ્વારા ઇમ્પેક્ટ ફીમાં મંજૂરીમાં મૂકવામાં આવી હતી, જેને મ્યુનિસિપલ કોર્પોરેશને નામંજૂર કરી હતી. કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યો હતો. જેમાં 21 જાન્યુઆરીએ મળેલી લીગલ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરી તાત્કાલિક આ કેસનો નિકાલ લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. 2 વર્ષ પહેલાં ભાસ્કરે કહ્યું હતું, ઓલિમ્પિક ગેમ્સ માટે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાશે. દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસરાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી હતી. આસારામ આશ્રમ સહિત કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે સિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સર્વે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સર્વે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી, જેથી ગેરકાયદે કબજા અંગે જે-તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી હતી. 2 જાન્યુઆરીએ સુરતના આશ્રમમાં ઢોલ-નગારાં સાથે ભક્તોએ રેપિસ્ટ આસારામનું સ્વાગત કર્યું હતુંદુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર શરતી જામીન મેળવનાર આસારામ લગભગ 13 વર્ષ બાદ 2 જાન્યુઆરીએ સુરત પહોંચ્યા હતા. ભાવનગરથી રો-રો ફેરી મારફત આગમન કરનાર આસારામના જહાંગીરપુરા આશ્રમમાં પહોંચતાની સાથે જ હજારો અનુયાયીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા સાથે સ્વાગત માટે અંધ ભક્તો આશ્રમના ગેટ પર જ હાથમાં દીવડાં લઈને ઊભા રહી ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: સુરત દુષ્કર્મકેસમાં આસારામને 6 મહિનાના જામીન:જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટઆસારામનો પરિવાર અને વિવાદ આસારામ અને તેના પરિવારનાં 'કાળાં કરતૂતો' 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આ પણ વાંચો: દુષ્કર્મકેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં:અનુયાયીને ન મળવાની જામીનમાં શરત હોવા છતાં મોટેરા આશ્રમમાં સાધકો ઊમટ્યા, પોલીસ એલર્ટ બની સગીરા પર દુષ્કર્મકેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ…
વેરાવળ-જુનાગઢ બાયપાસ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આગની ઝપેટમાં કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલું એક ફોર વ્હીલ વાહન અને બે મોટરસાયકલ આવી ગયા હતા. આ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં હાજર વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડા સમય માટે બાયપાસ માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતાઓ અંગે તપાસ ચાલી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની સીઝન જામી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગળીનું ઉત્પાદન શરૂ થતા ની સાથે જ એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી છે, ખેડૂતોને ડુંગળીના ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને વાવેતર, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, નવાગામ ના ખેડૂત મહેન્દ્રસિંહ ગોહિલ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે DAP ખાતરની થેલી 500 રૂપિયામાં મળતી હતી, ત્યારે ડુંગળીના ભાવ 500-600 રૂપિયા હતા, આજે ખાતરના ભાવ વધીને 1500 રૂપિયા થઈ ગયા છે, દવા અને મજૂરી પણ મોંઘી થઈ છે, છતાં ડુંગળી 122 રૂપિયામાં વેચાય છે તેમના મતે, જો ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા મળે તો જ ખેડૂતને બે પૈસાની કમાણી થાય, હાલમાં વીઘે 30 થી 35 હજારનો ખર્ચ થાય છે, જેની સામે માત્ર 5 થી 7 હજાર રૂપિયા ઉપજી રહ્યા છે, અને સરકાર કા નિકાસ આપે કા ખેડૂતોને સહાય આપે, તો જ કામનું છે બાકી ખેડૂત કોઈ રીતે ઊભો રહી શકે એવી એની પરિસ્થિતિ નથી એટલે ખેડૂતોને પડ્યા માથે પાટું એવું મળે છે અને કોઈપણ નેતા કે સરકાર કોઈપણ રીતે ખેડૂતોનું ધ્યાન દેતું નથી, તો હવે પછી ખેડૂતો એવું નક્કી કરશે કે ખેડૂતોનું કોઈ ન હોય તો આગામી ચૂંટણીમાં ખેડૂતો સરકારને એનો જવાબ આપવા પણ સહમત છે, ભંડારીયા ગામના ખેડૂત પ્રવિણભાઈ કુકડીયાએ જણાવ્યું હતું કે, જે ડુંગળી 8 દિવસ પહેલા 322 રૂપિયામાં વેચાતી હતી, તેના ભાવ આજે ઘટીને 241 રૂપિયા થઈ ગયા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી તો માત્ર 100-150 રૂપિયામાં જાય છે, જેમાં ભાડા અને મજૂરીના પૈસા પણ નીકળતા નથી. ખેડૂત વિજયભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે, અમે ડુંગળી લઈને આવ્યા છીએ, ડુંગળીનો પૂરતો ભાવ મળતો નથી, મજૂરીનું અને ભાડાનું થાય છે, ખર્ચનો રૂપિયો મળતો નથી, એટલે આમાં કંઈક સરકાર થોડુંક વિચારે ખેડૂત પ્રત્યે, તો પાંચ પૈસા ખેડૂતને મળે એવું થાય, અત્યારે ડુંગળી સારી ડુંગળીના ભાવ 200-225 અને નબળીના 70, 80, 90 રૂપિયા ભાવ છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આવકની વાત કરીએ તો અત્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ડુંગળીની પુષ્કળ આવકો હોય, દર વર્ષે આપણે બબ્બે-ત્રણ ત્રણ યાર્ડની જગ્યાઓ પણ કરવી પડતી હોય છે, તેની બદલે ભાવનગર માર્કેટિંગ યાર્ડની જે જૂની જગ્યા છે એમાં જ માલ ઉતરે છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આવકો ખૂબ ઓછી છે, તેનું જો મુખ્ય કોઈ કારણ હોય તો ખેડૂતોએ વાવેતર કર્યા પછી દસ દિવસ જેવો કમોસમી વરસાદ પડ્યો છે. તેના લીધે ખેડૂતોને જે ઉતારો આવવો જોઈએ તેની કરતા ખૂબ ઓછો આવ્યો છે. બીજા નંબરમાં, વરસાદ પડવાથી ખેડૂતોને માલની ક્વોલિટી પણ ખૂબ નબળી થઈ છે અને ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, ડુંગળીની ગુણવત્તા (ક્વોલિટી) પણ બગડી છે, હાલ યાર્ડમાં 80 ટકા માલ એવો છે જે મણે માત્ર 50 થી 150 રૂપિયામાં વેચાય છે. માત્ર 20 ટકા સારી ગુણવત્તાવાળો માલ 150 થી 225 રૂપિયા સુધી પહોંચે છે,
પોરબંદર પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ, 1.28 ક કરોડ રૂપિયાના દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી ભીમા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ ઓડેદરાને પાસા (PASA) હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવ્યો છે. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના મુજબ, આરોપી ભીમા ઓડેદરા (ઉંમર 37, રહે. છાંયા નવાપરા, પોરબંદર) પાસેથી વિવિધ બ્રાન્ડની કુલ 14,544 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત રૂપિયા 1,28,42,400/- આંકવામાં આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરવા બદલ આરોપી સામે કડક પગલાં લેવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા દ્વારા પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુ કરતા, પોરબંદર એલ.સી.બી.ની ટીમે ભીમા ઓડેદરાની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.
રાજકોટના ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ પાસે સેટેલાઈટ બસ સ્ટેશન પાસેની ઝાડની ડાળીએ એક યુવાનનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને થોરાળા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેથી પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાત પાછળનું કારણ અકબંધપોલીસે કરેલી તપાસમાં સામે આવ્યુ હતુ કે, આપઘાત કરનાર યુવાન નવા થોરાળા શેરી નંબર -5 માં રહેતા 45 વર્ષીય પ્રવીણભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. જેમને 4 ફેબ્રુઆરીના રાત્રિના સમયે અમૂલ સર્કલ બાદ સ્ટેશન સામે ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે, યુવાને કારણોથી આપઘાત કરી લીધો તે હજુ સુધી સામે આવ્યુ નથી. લોકોને સતત અવરજવર છતાં કોઈને નજર ન પડી!શહેરના અમુલ સર્કલ પાસેના આ બસ સ્ટેન્ડમાં એસટી બસની અવરજવર સતત રહેતી હોય છે. આ ઉપરાંત વાહનચાલકો પણ અહીંથી પસાર થતા હોય છે, તેમ છતાં પણ આ યુવાન જ્યારે ઝાડ પર દોરી બાંધી આપઘાત કરી રહ્યો હતો તે કોઈના ધ્યાનમાં ન આવ્યું તે આશ્ચર્યજનક બાબત ગણી શકાય. જોકે, થોરાળા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ અને એન.એફ. સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા તસ્કરને ચોરીના ટુ-વ્હીલર સાથે ઝડપી પાડી બાઈક ચોરીના કુલ ચાર વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી અગાઉ પણ 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી તપાસ શરૂ કરીમળતી માહિતી પ્રમાણે બી-ડિવિઝન પી.આઈ. એન.એસ. ઘેટીયાને ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ લાલ રંગનું જેકેટ પહેરીને ચોરીના બાઈક સાથે મગપુરા ઉપલા રોડ પર ડફેર ડંગા પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કોર્ડન કરી મંગાજી હીરાજી ઠાકોર રહે. આંબલીયાસણ, મૂળ રાપર-કચ્છ નામના 28 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા તેની પાસે રહેલું ગ્લેમર મોટરસાયકલ મહેસાણા શહેર એ-ડિવિઝનમાંથી ચોરાયું હોવાનું ખુલ્યું હતું. આરોપીએ પોલીસ સામે કબૂલાત કરીપોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ ત્રણ બાઈકની ચોરી કરી છે. જેમાં વાઈડ એંગલ થિયેટર પાસેથી ચોરાયેલું સ્પેલન્ડર પ્લસ, ગોપીનાળા પાસેથી ચોરાયેલું પેશન પ્રો અને રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરેલા બાઈકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપી બી-ડિવિઝન પોલીસ મથકના એક અન્ય ગુનામાં પણ નાસતો ફરતો હતો. બાઈક ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા આ રીઢા ગુનેગારની ધરપકડથી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. પોલીસે આરોપીને અટક કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
'ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..', તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
MRK Panneerselvam North India Statement : તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીયો અને હિન્દી ભાષાને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ચેંગલપટ્ટુ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં આવીને ટેબલ સાફ કરવાનું કે મજૂરી કરવાનું કામ કરે છે. શું છે સમગ્ર વિવાદ? તમિલનાડુના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે એક પાર્ટી કાર્યક્રમમાં ઉત્તર ભારતીયોની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ઉત્તર ભારતના લોકો અહીં ટેબલ સાફ કરવા આવે છે..
વાંકાનેરમાં ગેરકાયદે ડિઝલની હેરાફેરી કરતા બે પકડાયા:પોલીસે 9.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ડીઝલની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મીના રિફેક્ટરીઝ કારખાનાના લેબર ક્વાર્ટર પાસેથી બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકની ટાંકીઓમાં ભરેલો 2700 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહન સહિત કુલ 9.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મીના રિફેક્ટરીઝ નજીક એક વાહનમાં લાયસન્સ કે પરવાના વગર જ્વલનશીલ પદાર્થની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 3 BW 3078 માં બે પ્લાસ્ટિકની ટાંકીઓમાં ગેરકાયદેસર ડીઝલ ભરેલું જોવા મળ્યું હતું. સ્થળ પર હાજર શખ્સો પાસે ડીઝલની હેરાફેરી માટે કોઈ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજ નહોતા. આ ઉપરાંત, જ્વલનશીલ પદાર્થની હેરાફેરી માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો પણ રાખવામાં આવ્યા ન હતા. પોલીસે 2,51,100 રૂપિયાની કિંમતનો 2700 લિટર ડીઝલનો જથ્થો, 7 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો વાહન, પ્લાસ્ટિકની ટાંકીઓ અને બે મોબાઈલ ફોન સહિત કુલ 9,72,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભીમસીંગ કુપસીંગ રાજપુત (ઉંમર 31, હાલ રહે. એસ.કે. પેટ્રોલિયમ, પંચાસર રોડ, વાંકાનેર; મૂળ રાજસ્થાન) અને ભાઈખાન ઈબ્રાહીમખાન સંધિ (ઉંમર 22, હાલ રહે. મીના રિફેક્ટરીઝ કારખાનું, વાંકાનેર; મૂળ રાજસ્થાન) નામના બે શખ્સોની ધરપકડ કરી છે. તેમની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં અજાણ્યા રિક્ષા ચાલકો અને તેમની સાથે પેસેન્જર બનીને બેસતી ગેંગનો આતંક ફરી દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં માણસા તાલુકાના આમજા ગામના એક ખેડૂત ગાંધીનગર ખાતે બેંકમાંથી પૈસા ઉપાડી પરત જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ગેંગે તેમની નજર ચૂકવી થેલીમાંથી 50 હજારની રોકડ ચોરી લીધી હોવાની ફરિયાદ સેકટર-21 પોલીસ ચોપડે નોંધાઈ છે. સામાજિક પ્રસંગ હોવાથી બેંકમાંથી પૈસા ઉપાડીને જતા હતામાણસાના આમજા ગામે પ્રજાપતિ વાસમાં રહેતા 57 વર્ષીય કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત તા. 29 જાન્યુઆરીના રોજ તેમના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. તે સવારના દસેક વાગ્યાના અરસામાં ગાંધીનગર સેક્ટર-16 ખાતે આવેલી ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડમાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં બપોરે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં કનુભાઇએ પોતાના ખાતામાંથી 1 લાખ રોકડા ઉપાડ્યા હતા અને 500ના બે બંડલ તેમણે પોતાની પાસે રહેલી એક પ્લાસ્ટિકની થેલીમાં મુક્યા હતા.ત્યારબાદ તેઓ ઘ-5 સર્કલ પાસે આવેલા મધુર પાર્લર બસ સ્ટેન્ડ પર આમજા જવા માટે વાહનની રાહ જોઈ ઉભા હતા. કાકા તમે અહીં થોડીવાર ઉભા રહો, પેસેન્જરને ઉતારી આવુઆ દરમિયાન આશરે પોણા એક વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક ત્યાં આવ્યો હતો. કનુભાઇએ રિક્ષા રોકાવી આમજા જવાનું પૂછતા ચાલકે 30 ભાડું નક્કી કર્યું હતું. જોકે, રિક્ષામાં અગાઉથી જ બે મહિલાઓ અને એક પુરુષ પેસેન્જર તરીકે બેઠેલા હતા. બાદમાં રિક્ષા હજુ સેક્ટર-24 માં હરિહર જ્વેલર્સ પાસે પહોંચી ત્યાં જ રિક્ષા ચાલકે અચાનક રિક્ષા ઉભી રાખી કહ્યું હતું કે, કાકા તમે અહીં થોડીવાર ઉભા રહો હું આ પેસેન્જરોને ઉતારીને હમણાં જ પાછો આવું છું. થેલી તપાસતા એક લાખ રૂપિયામાંથી 50 હજારનું બંડલ ગાયબજેની વાત માની ખેડૂત નીચે ઉતરી ગયા હતા. જોકે, ઘણો સમય રાહ જોવા છતાં રિક્ષા ચાલક પરત ન ફરતા કનુભાઇને શંકા ગઈ હતી. તેમણે પોતાની પાસે રહેલી થેલી તપાસતા એક લાખ રૂપિયામાંથી 50 હજારનું બંડલ ગાયબ હતું. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા કનુભાઇ ઘરે પરત ફર્યા હતા અને પ્રસંગ હોવાથી તે પૂર્ણ થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના એસ. જી. હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ નજીક આજે (5 ફેબ્રુઆરી) વહેલી સવારે બીઆરટીએસ બસનો અકસ્માત થયો હતો. બેફામ સ્પીડે જતી બીઆરટીએસ બસના ચાલકે એસ. જી. હાઇવે પરના બ્રિજના પીલ્લર સાથે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ ડ્રાઇવર બસની આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરને પગમાં ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરનો પગ એક્સીલેટર અને બ્રેકની વચ્ચે ફસાઈ ગયો હતોફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ, સવારે 6:30 વાગ્યાની આજુબાજુ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે એસજી હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ નજીક બસનો અકસ્માત થયો છે, જેથી થલતેજ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પીલ્લર સાથે અથડાઈ હતી અને ડ્રાઇવર ફસાઈ ગયો હતો અને ખૂબ જ ગંભીર સ્થિતિ હતી. ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કટર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી હતી. ડ્રાઇવરનો પગ એક્સીલેટર અને બ્રેકની વચ્ચે ફસાઈ ચુક્યો હતો, જેથી ત્યાં પહોંચવામાં ખૂબ સમય લાગતો હતો. 15 જેટલા ફાયર જવાનોની કલાકની જહેમત બાદ ડ્રાઈવર બહાર નીકળ્યોફાયર બ્રિગેડની ટીમે કટરના સાધનોની મદદથી આસપાસનો ભાગ કાપી અને ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. 15 જેટલા ફાયરના જવાનો દ્વારા એક કલાકની જહેમત બાદ ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢી શકાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બસની આગળનો આખો ભાગ દબાઈ ગયો હતો અને ખૂબ મોટું નુકસાન સર્જાયું હતું. જોરદાર અવાજ આવતા હું દોડીને તરત ત્યાં ગયોઃ જય પટેલજય પટેલ નામના સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર સોલા સિવિલ નજીક બ્રિજની નીચે કડિયા કામ કરું છું અને અહીંયા જ સૂતો હતો. અચાનક જ જોરથી બસ બ્રિજના પીલ્લર સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરનો અવાજ આવ્યો હતો એટલે હું દોડીને તરત ત્યાં ગયો હતો. બસના આગળનો ભાગ તૂટી ગયો અને કાચ વેર-વીખેર થઈ ગયા હતા. મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડ્રાઇવર ફસાઈ ગયો હતો. તેમને મેં સાંત્વના આપી હતી કે, અમે તમને બચાવી લઈશું. ‘લોકો ફોટા-વીડિયો ઉતારતા હતા, જે કરવું ના જોઈએ’બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક સ્થાનિક લોકો ફાયર બ્રિગેડને જાણ કરવાની જગ્યાએ મોબાઈલમાં ફોટો-વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા. ડ્રાઇવરને સાંત્વના આપવાની જરૂરિયાત હતી, એની જગ્યાએ ફોટા-વીડિયો ઉતારતા હતા, જે કરવું ના જોઈએ.
જામનગરમાં CCTV કેમેરાના પોલને નુકસાન:અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પોલીસ ફરિયાદ
જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના પોલને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બેડેશ્વર રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે વાલસુરા રોડ પર બની હતી. જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ હસ્તક લગાવવામાં આવેલા લોખંડના પોલ અને સીસીટીવી કેમેરાને નુકસાન થયું છે. કુલ રૂપિયા 53,536નું નુકસાન અંદાજવામાં આવ્યું છે. પરમદિવસે સવારે 11 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ પોલને ટક્કર મારી હતી. આ બનાવ અંગે પોલીસના નેત્રમ વિભાગના એએસઆઈ પરેશભાઈ અમૃતલાલ ખાણધરે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગત રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેર નજીક આવેલા સેવાસી ચેક પોસ્ટથી પ્રિયા ટોકીઝ જતા માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર, તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સેવાસી ચેક પોસ્ટથી પ્રિયા ટોકીઝ જવાના માર્ગે પાછળથી આવતા એક ડમ્પરે આગળ જઈ રહેલી કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરના જોરથી કાર યુ-ટર્ન લઈને રોડના ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ડમ્પરની ટક્કરે ડિવાઈડર પર ચઢી ગયેલ કારને સ્થાનિક લોકોએ નીચે ઉતારવામાં મદદ કરી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારને આ અકસ્માતમાં નુકસાન થયું છે. આ અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માત બાદ રોડ પર થોડો સમય ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જો કે પોલીસ પોહચતા તે ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આ મામલે અમે તાલુકા પોલીસ મથકના પી આઈ વી એમ ટાંક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતને લઈ પોલીસ સ્થળ પર ગઈ હતી. આ અકામતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વાહન ચાલકો વચ્ચે સમાધાન થતા અમે કોઈ કાર્યવાહી કરી નથી.
ગુજરાતમાં હાલ રાત્રે હાડ થીજાવતી ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં લઘુતમ તાપમાન 13.8થી 22.8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેશે. એકાએક ઠંડી વધતા જનજીવન પર અસર જોવા મળીઉત્તર ભારતમાં હવામાને ફરી પલટો લીધો છે. અચાનક વધેલી ઠંડીને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સવારની શરૂઆત ધુમ્મસ સાથે થઈ રહી છે અને સાંજ પડતાં ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હાડ થીજાવતા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 8 રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા વધી છે. 11 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતાગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 7થી 11 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહી શકે છે, જેના કારણે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે. જોકે, રાત્રી દરમિયાન ઠંડીનો અહેસાસ યથાવત રહેશે. પવનની ગતિ આજથી ઘટશે, પરંતુ 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન ફરીથી પવનની ઝડપ વધીને 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે. આજે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાનઅમદાવાદ 18.6C, અમરેલી 17C, વડોદરા 19.4C, ભાવનગર 20.2C, ભુજ 16.8C, દમણ 19.8C, દીવ 18.7C, દ્વારકા 19.2C, ગાંધીનગર 17.8C, કંડલા 18.5C, નલિયા 13.8C, ઓખા 20.4C, પોરબંદર 20.3C, રાજકોટ 18.5C, સુરત 22.8C અને વેરાવળ 20.5C. હવામાન વિભાગે લોકોને ધુમ્મસ અને પવનની સાવચેતી રાખવાની સલાહ આપી છે.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટચોથની ઉજવણી:ગણપતિદાદાને 21 કિલો ચીકુ અને દ્રાક્ષનો શણગાર અર્પણ
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં ગુરુવારે સંકટચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો ચીકુ અને દ્રાક્ષનો વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ અનોખા દર્શનનો લાભ લીધો હતો. સંકટચોથની ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. રામભરોસે યજમાન દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરાયું હતું. દિવસભર ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ચીકુ અને દ્રાક્ષના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 6:15 કલાકે આરતી કરવામાં આવશે અને રાત્રે 9.48 કલાકે ચંદ્રદર્શન થશે.
ગીર સોમનાથના ઉકડીયા ગામે સિંહની લટાર:બાપા સીતારામની મઢૂલી નજીક CCTVમાં કેદ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે ફરી એકવાર સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો એક સિંહ ગામની ગલીઓમાંથી પસાર થતો CCTV કેમેરામાં કેદ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ઉકડીયા ગામમાં બાપા સીતારામની મઢૂલી નજીક બની હતી. શાંત વાતાવરણ વચ્ચે અચાનક સિંહની હાજરીથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. રાત્રિના સમયે ગામની ગલીઓમાં નિર્ભય રીતે ફરતા સિંહના દ્રશ્યો CCTVમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા, જેણે ઘટનાની ગંભીરતા દર્શાવી હતી. ગામમાં અગાઉ પણ વન્ય પ્રાણીઓના આંટાફેરાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જોકે, આ વખતે સિંહ ગામના મધ્ય ભાગ સુધી પહોંચી જતાં લોકોમાં વધુ ભય ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિ સમયે બહાર નીકળતા લોકો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનોને રાત્રિ સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરમાં જ રાખવા અને કોઈપણ રીતે સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગીરના જંગલ વિસ્તાર નજીક આવેલા ગામોમાં સિંહો શિકાર અથવા માર્ગ બદલવાના કારણે ક્યારેક પ્રવેશ કરે છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો સિંહને જંગલ તરફ ખદેડવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉકડીયા ગામમાં સિંહની લટારની આ ઘટના ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંપર્કની ગંભીરતા દર્શાવે છે. આવા સંજોગોમાં ગ્રામજનોની સલામતી અને સાવચેતી સૌથી મોટો મુદ્દો બની રહે છે.
બોટાદ શહેરના લાતી રોડ વિસ્તારમાં એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઘર બહાર ઇલેક્ટ્રિક મીટરને આગ લગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પીડિત પરિવારની મહિલાએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પીડિતાની નાની બહેનના પતિ સાજીદભાઈ સલીમભાઈ બીનબકર રાત્રીના સમયે રીક્ષામાં આવ્યા હતા. તેમણે પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ પરિવારની એક મહિલા સભ્યને લઈ જવાની પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ આરોપી સાજીદભાઈએ પીડિતના મકાનની બહાર લગાવેલા ઇલેક્ટ્રિક મીટર પર પેટ્રોલ છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યથી પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બોટાદ ટાઉન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને એક પ્રામાણિક રિક્ષાચાલકની મદદથી એક મહિલાને તેમની ગુમ થયેલી બેગ પરત મળી છે. આ બેગમાં ₹30,000 રોકડા, જરૂરી દસ્તાવેજો અને અન્ય સામાન હતો. ગણતરીના કલાકોમાં જ આ કિંમતી સામાન મહિલાને પરત અપાયો હતો. શાંતીબેન નામના મહિલા ગત રોજ બપોરે આશરે 4:15 વાગ્યે નરસંગ ટેકરીથી સુદામા ચોક જવા માટે રિક્ષામાં બેઠા હતા. સુદામા ચોક ઉતરતી વખતે ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. બેગ ગુમ થયાની જાણ થતાં શાંતીબેને તાત્કાલિક પોરબંદર પોલીસના નેત્રમ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. નેત્રમ સ્ટાફે વિલંબ કર્યા વગર વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં GJ06AV3228 નંબરવાળી એક શંકાસ્પદ રિક્ષા જોવા મળી હતી, જેના પર 'જય મામાદેવ-KISMAT' લખેલું હતું. ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી રિક્ષાચાલકનો સંપર્ક કરવામાં આવ્યો. રિક્ષાચાલક એક વયોવૃદ્ધ દાદા હતા, જેમણે અત્યંત પ્રામાણિકતા દાખવીને મહિલાની બેગ સુરક્ષિત રીતે પરત કરી. નેત્રમ સ્ટાફની હાજરીમાં શાંતીબેનને તેમની રોકડ રકમ અને દસ્તાવેજો સાથેની બેગ પરત સોંપવામાં આવી. પોતાનો કિંમતી સામાન અને મહેનતના પૈસા પાછા મળતા શાંતીબેને પોરબંદર પોલીસ, નેત્રમ સ્ટાફ અને પ્રામાણિક રિક્ષાચાલક દાદાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર નશાનો વીડિયો વાયરલ:પોલીસે ડિલીટ કરાવી, ભવિષ્યમાં આવા વીડિયો ન બનાવવાની બાંહેધરી લીધી
ધ્રાંગધ્રાના કંકાવટી ગામના એક ઇન્સ્ટાગ્રામ પેજ 'R2H official gujarati' પર નશાને પ્રોત્સાહન આપતો વીડિયો વાયરલ થયો હતો. આ પેજના 5.63 લાખ ફોલોવર્સ છે. પોલીસને આ વીડિયો અંગે ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વીડિયો બનાવનારાઓએ કબૂલ્યું હતું કે તેઓ નશાનો દેખાવ કરવા માટે જીરા સોડાનો ઉપયોગ કરતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ વીડિયો ડિલીટ કરાવ્યો હતો. વીડિયો બનાવનારાઓએ માફી માગી હતી અને ભવિષ્યમાં વ્યસનને પ્રોત્સાહન આપતા આવા કોઈ વીડિયો નહીં બનાવવાની બાંહેધરી આપી હતી.
ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પર હાજર GRD જવાન અને પોલીસે સમયસર દખલગીરી કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ યુવતીનું કાઉન્સેલિંગ કરીને તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતી હાઈવે પર કોઈ વાહનની આગળ કૂદી પડવા જેવી શંકાસ્પદ હરકતો કરતી જોવા મળી હતી. આ જોઈને GRD સભ્ય અરુણ ઠાકોરે તત્કાળ સતર્કતા દાખવી યુવતીને રોકી લીધી હતી અને સંભવિત દુર્ઘટના ટાળી હતી. અરુણ ઠાકોરે તાત્કાલિક ભરૂચ “સી-ટીમ” અને પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને જાણ કરી હતી. પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે પારિવારિક કારણોસર તે આત્મહત્યા કરવાના ઈરાદે હાઈવે પર આવી હતી. પોલીસે યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. પોલીસ અધિકારીઓએ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને સમજાવ્યા. ત્યારબાદ યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં GRD સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય રહી છે, જેના કારણે એક યુવતીનો જીવ બચાવી શકાયો.
પાટડીના બામણવામાં પ્રેમી યુગલનો આપઘાત:સજોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી
પાટડી તાલુકાના બામણવા ગામમાં એક પ્રેમી યુગલે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ કૃણાલ રમેશભાઈ ઠાકોર (ઉં.વ.21) અને જાનકી સતીષભાઈ ઠાકોર (ઉં.વ.19) તરીકે થઈ છે. બંને બામણવા ગામના રહેવાસી હતા અને તેમના વચ્ચે પ્રેમસંબંધ હતો. પ્રાથમિક અનુમાન મુજબ, બંને કૌટુંબિક સગા થતા હોવાથી તેમના પરિવારજનો આ સંબંધ માટે રાજી નહોતા. ભવિષ્યમાં લગ્ન શક્ય ન હોવાથી તેમણે આત્મહત્યાનું આ પગલું ભર્યું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે બંનેના પરિવારો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બસમાં બેસવા મુદ્દે યુવતીને લાફો મરાયો:ઉંદેલ ચોકડીએ ઘટના, યુવક સામે ગુનો દાખલ
ખંભાત તાલુકાના ખટનાલ ગામની એક યુવતીને ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસમાં બેસવા દેવા બાબતે ગામના જ યુવકે લાફો માર્યો હતો. આ મામલો ખંભાત રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હેલીબેન પુનમભાઈ પટેલ (ઉ.વ. 19) ખટનાલ ગામના નારણપુરા ખાતે રહે છે. તેઓ પેટલાદની આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં એફવાયબીએસસીનો અભ્યાસ કરે છે. ઘટના સમયે હેલીબેન તેમની બહેનપણીઓ પૂર્વીબેન સંદિપભાઈ પટેલ અને હેપ્પી જીતેન્દ્રભાઈ પટેલ સાથે કોલેજ જવા માટે ઉંદેલની ખોડીયાર ચોકડીએ બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતો મનિષભાઈ વિષ્ણુભાઈ રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને હેલીબેનને ગાલ ઉપર લાફો મારી દીધો હતો. હેલીબેને લાફો મારવાનું કારણ પૂછતાં મનિષભાઈએ જણાવ્યું કે, 'ગઈકાલે તે મારા મિત્રોને બસમાં સીટ ઉપર કેમ બેસવા ના દીધા?' હેલીબેને સ્પષ્ટતા કરી કે તેમણે તેમના મિત્રો માટે જગ્યા રોકી હતી, તેથી મનિષભાઈના મિત્રોને ત્યાં બેસવાની ના પાડી હતી. આ સાંભળીને મનિષભાઈએ ધમકી આપતા કહ્યું, 'હું રબારીનો છોકરો છું, તારાથી જે થાય તે કરી લેજે, અને તમારામાં તાકાત હોય તો ખટનાલ રબારીવાસમાં આવી જજો.' હેલીબેનના મિત્રો તેમજ પિનાકીનભાઈ જયંતિભાઈ પટેલે મનિષભાઈને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ હેલીબેને ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ગુજરાતના કલાકારો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમણે અદાણી અને અંબાણી મુદ્દે સરકાર પર પ્રહાર કરતા આ ટિપ્પણી કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સભાનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવા છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળવા અથવા વળતર અંગે સ્પષ્ટતા ન થવાને કારણે ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ આક્રોશને વાચા આપવા માટે આ સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટિયા અને લાલજીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને સંબોધતા સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. સભાને સંબોધતા લાલજીભાઈ દેસાઈએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિક્ષણના વ્યાપારિકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી હતી અને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. હાલમાં તો ત્રણ-ત્રણ વેસ્ટ ઈન્ડિયા કંપનીઓ છે – ટાટા, અંબાણી અને અદાણી, જે બધા ગુજરાતી છે. તેમણે વધુમાં કલાકારોને નિશાન બનાવતા કહ્યું કે, ગુજરાતના કલાકારો હાલમાં 'અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી...' જેવા ગીતો ગાય છે. જેઓ ગુજરાતને લૂંટે છે તેમને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપશો નહીં. દેસાઈએ માગ કરી કે જો અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ. તેમણે ભુજમાં ભૂકંપ પછી લોકોના ટેક્સના પૈસાથી બનેલી હોસ્પિટલ પણ અદાણીએ લઈ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. લાલજીભાઈ દેસાઈની આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજકોટ મનપાનું બજેટ ગઈકાલે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સોંપી દેવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફેરફારો સાથેનું બજેટ મંજુર કરવામાં આવનાર છે. ત્યારે હવે રાજકોટ જીલ્લા પંચાયતમાં પણ વર્તમાન ટર્મ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય નાણાકીય વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીઓ પાછળ ઠેલાવાના સંકેતો વચ્ચે શાસક પક્ષ દ્વારા આ ટર્મનું છેલ્લું બજેટ રજૂ કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સભ્યોની ગ્રાન્ટમાં વધારો થવાની શક્યતા છે. જાણવા મળતી વિગતો મુજબ, 20 ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં બજેટની દરખાસ્તો રજૂ કરી તેને મંજૂરી આપવામાં આવશે. બાદમાં 27 ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપી બહાલી આપવામાં આવશે. જોકે, શાસકો અને વહીવટી તંત્રની અનુકૂળતા મુજબ તારીખોમાં એક-બે દિવસનો ફેરફાર થઈ શકે છે, પરંતુ ફેબ્રુઆરીનાં અંત સુધીમાં બજેટ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી અને કારોબારી ચેરમેન પી.જી.કીયાડા દ્વારા જીલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશમોહન સાથે થયેલી બેઠકમાં બજેટ અંગે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ કરવામાં આવી છે. જીલ્લા પંચાયતના બજેટમાં આ વર્ષે સ્વભંડોળની આવકમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. પંચાયત પાસે હાલ પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી દરેક સભ્યને પોતાના વિસ્તારના વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 10% નો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગવાર ફાળવણીના આંકડાઓ સ્પષ્ટ થયા બાદ શાસક પક્ષના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં ખેતીવાડી, આરોગ્ય, બાંધકામ અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો માટે બજેટમાં કેટલી જોગવાઈ કરવી તે નક્કી કરવામાં આવશે. નિયમ મુજબ, જીલ્લા પંચાયતનું બજેટ સૌ પ્રથમ કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવે છે. ત્યાં સભ્યો દ્વારા કરવામાં આવેલા સુધારા-વધારા અને ચર્ચાઓ બાદ તેને ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવે છે. સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર થયા બાદ તેને અમલી બનાવવામાં આવે છે. જોકે, વર્તમાન સભ્યો માટે એક ચિંતાનો વિષય એ પણ છે કે નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ મહિનામાં જ પંચાયતની મુદત પૂર્ણ થઈ રહી છે. આ સ્થિતિમાં, બજેટમાં ફાળવાયેલા રૂ. 10,00,000 કે તેનાથી વધુની રકમ વાપરવા માટે સભ્યોને પૂરતો સમય મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજકોટ જીલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ શાસકો અને તંત્ર વચ્ચે આયોજનબદ્ધ બેઠક યોજાશે જેમાં અંદાજપત્રના આંકડાઓને આખરી ઓપ આપવામાં આવશે. આ બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જેવી કે સીસી રોડ, ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠાની યોજનાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે. જીલ્લા પંચાયતની આ ટર્મની આ છેલ્લી મોટી સભાઓ હોવાથી તેને યાદગાર બનાવવા માટે શાસક પક્ષ મક્કમ દેખાઈ રહ્યો છે.
વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યા બંધ શ્રમિકોને બેસાડી પૂરપાટ ઝડપે જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પોલીસ સ્ટેશનમાં આરોપીને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને ત્યારબાદ આરોપીએ કાન પકડીને માફી માગી હતી અને કહ્યું હતું કે, આ મારી ભૂલ હતી ફરીથી આવું ક્યારેય નહીં કરું. JCBના ‘સૂપડા’માં સાતથી આઠ લોકોને ઉભા રાખ્યા હતા વડોદરા શહેર અને હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંકને ક્યાંક ચાલકો , પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વીડિયો આજે વાયરલ થયો હતો. વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસના હેડ કોસ્ટેબલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હરણી પોલીસે આરોપીમુમતાજ હકીમ મિયા આલમ (રહે. એરફોર્સ બ્રીજ પાસે, વડોદરા, મુળ રહે ગા મ કોદરકટ બનકટવા પૂર્વી ચંપારણ બિહાર)ની ધરપકડ કરીને બજે તપાસ શરૂ કરી છે. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વીડિયો વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને ભારદારી વાહનો બેફામ રીતે વાહનો હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી છે. રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક પરિવારોના કુળદીપક બુઝાય છે. તેમ છતાં વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે લોકોને વાહનોમાં બેસાડે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસને કઈ દેખાતું નથી.
ગંભીર ગુનાના આરોપીઓને ‘ખાસ મહેમાનગતિ’ પીરસાઈ રહી હોવાનો આક્ષેપ ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે જેલમાં બંધ ગંભીર ગુનાના આરોપીઓને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ VVIP સુવિધાઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકર નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાએ તપાસની માંગ કરી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના અન્ય શખ્સોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે, તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે, સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે 8 વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે, નવનીતભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે, સુવિધાઓ માણવાનું નહીં. તેમણે માંગ કરી છે કે જો જેલના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત રાજ્ય તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માંગ કરી છે.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન પુણા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કુલ 9 મોટરસાયકલ રિકવર કરી છે. કેવી રીતે ઝડપાયું નેટવર્ક? પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હલચલના આધારે તપાસ કરતા ચોરીના વાહનો સાથે તસ્કરો પોલીસના હાથે ચડી ગયા હતા. આ ઓપરેશનમાં પોલીસે બે રીઢા આરોપીઓ સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરી છે. અલગ-અલગ કંપનીની કુલ 9 બાઈક કબ્જે કરવામાં આવી છે. પુણા પોલીસે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી વાહનચોરીના અન્ય વણઉકેલાયા ગુનાઓ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, પુણા પી.આઈ. વી.એમ. દેસાઈના નેતૃત્વમાં પુણા ડી-સ્ટાફ દ્વારા એક સંયુક્ત બાતમીના આધારે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ બે વ્યક્તિઓ છે અને એક સગીર છે, આમાં અમે કુલ 9 બાઈક્સ રિકવર કરી છે. જેમાંથી 3 બાઈક પુણા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 3 બાઈક કડોદરા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 1 બાઈક સલાબતપુરા, 1 કામરેજ અને 1 પલસાણા પોલીસ સ્ટેશનની છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી તેમની પદ્ધતિ એવી હતી કે જે બાઈક્સ જાહેર જગ્યાઓ પર હેન્ડલ લોક કર્યા વગરની પડી હોય તેને તેઓ ચોરી કરતા હતા, અને કેટલીક બાઈક્સના લોક તોડીને પણ ચોરી કરતા હતા. કુલ ત્રણ આરોપીઓમાંથી એક સગીર છે. બાકીના બેમાં ચિરાગ જેની ઉંમર 21 વર્ષ છે અને તે કડોદરાનો રહેવાસી છે. જયદીપ જેની ઉંમર 24 વર્ષ છે અને તે પણ કડોદરાનો રહેવાસી છે. બાઈક ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવ ઝોન-1 માં બાઈક ચોરી વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી પુણા પોલીસ સ્ટેશને 9 બાઈક્સ ડિટેક્ટ કરી છે. વરાછા પોલીસ સ્ટેશને 8 બાઈક્સ ડિટેક્ટ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન 10 બાઈક્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી રિકવર કરીને લાવ્યું હતું. આવી જ રીતે અમે સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છીએ જેથી લોકોને તેમની પ્રોપર્ટી વહેલી તકે પાછી મળી શકે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ આ આરોપીઓનો જૂનો ગુનાહિત ઈતિહાસ પણ છે, તેઓ અગાઉ પણ ચોરીના કેસમાં સંડોવાયેલા છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે કોઈ ગેરેજ કે એવી એજન્સી આમાં સામેલ છે કે જે ચોરીની બાઈક ખરીદતી હોય અને સામાન્ય જનતાને સસ્તા ભાવે વેચતી હોય.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કાર્યવાહી:ખંભાત પોલીસે 39 ગુમ મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા
ખંભાત સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્વારા ગુમ થયેલા અથવા ચોરાયેલા કુલ 39 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ખંભાત સિટી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓ અને મળેલી અરજીઓના આધારે આ મોબાઈલનું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ, પોલીસ મથકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોબાઈલના અસલ માલિકોને બોલાવી, કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પરત સોંપવામાં આવ્યા. ગુમ થયેલા મોબાઈલ પરત મળતા નાગરિકોએ ખંભાત પોલીસની કામગીરીની સરાહના કરી હતી.
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહામુકાબલો થશે. આ મેચમાં સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સને સામસામે રમતી જોવા સ્ટેડિયમ હાઉસફુલ થશે કારણ કે, આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. વડોદરામાં WPLની ફાઈનલમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પર્ફોર્મ કરશે. આજની મેચમાં 30 હજાર કરતા વધુ ક્રિકેટરસિકો ઉમટી પડવાના હોવાથી સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. બંને ટીમો ટાઈટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશેવિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત નવી મુંબઈમાં 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાઈ. આજે 5 ફેબ્રુઆરીએ છેલ્લી મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને દિલ્હી કેપિટલ્સની ટીમ ગુજરાત જાયન્ટ્સની ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચી છે ત્યારે બંને ટીમો ટાઈટલ જીતવા માટે તમામ પ્રયાસો કરશે. તમામ ટિકિટો વેચાતા સ્ટેડિયમ હાઉસફૂલ રહેશેક્રિકેટરોની સાથે સાથે બોલીવુડ પણ આજની મેચમાં રંગ જમાવશે. વડોદરામાં WPLની ફાઈનલની ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંગ પર્ફોર્મ કરશે. જેને લઈને પણ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મેચની તમામ ટિકિટો ટપોટપ વેચાઈ ગઈ હતી. જેના કારણે ઘણા ક્રિકેટ રસિકોને મેચની ટિકિટ પણ મળી શકે નથી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને લોરેન બેલ જેવી ક્રિકેટર પર સૌ કોઈની નજર રહેશે. તો દિલ્હી કેપિટલમાં જેમીમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્નેહા રાણાના પરફોર્મ્સ સૌ કોઈની નજર રહેશે. દિલ્હી કેપિટલ્સ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે જોર લગાવશેવિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન ટાઇટલ જીત્યું હતું. બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટાઈટલ જીત્યું અને ત્રીજી સિઝનમાં ફરી મુંબઈ ઇન્ડિયન ટાઇટલ જીત્યું હતું. આ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચોથી સિઝનમાં ટાઈટલ જીતીને બે વખત ટાઇટલ પોતાના નામે પર કરવાનો પ્રયાસ કરશે. તો દિલ્હી કેપિટલ્સ પોતાનું પહેલું ટાઇટલ જીતવા માટે જોર લગાવશે. ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશેવડોદરામાં યોજાનાર WPLની ફાઈનલ મેચોને લઈને કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે અને વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વિમેન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી હતી. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાઈ છે.
આણંદમાં પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ત્રણ મહિનાથી ફરાર સાહિલ મલેકને પોલીસે દબોચ્યો
આણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા-ફરતા આરોપી સાહિલ મલેકને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સાહિલભાઈ દાઉદભાઈ મલેક (રહે. યાદગાર સોસાયટી, રેલ્વે ફાટક નજીક અને હાલ પરીખ ભુવન, આણંદ) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. આ દરમિયાન, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.પી.સી. તીર્થરાજસિંહ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સાહિલ મલેક હાલ આણંદ વિસ્તારમાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સાહિલ મલેકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. વી.ડી. ઝાલા, પી.એસ.આઈ. એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીનુભાઈ સંગ્રામભાઈ અને તીર્થરાજસિંહ જોડાયા હતા.
પાટણ નગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના ચાણસ્મા હાઈવે પર રસ્તામાં નડતરરૂપ બનતા 15 વડ અને પીપળાના વૃક્ષોને કાપવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પાલિકાનો પ્રથમ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ છે. ચાણસ્મા હાઈવે પર અંબાજી નેળીયાના નાકા પાસે સારથીનગર ચોકમાં કેનાલ તરફ પાંચ વર્ષ પહેલા રોપાયેલા આ વૃક્ષો હવે વિશાળ કદના બન્યા હતા. તેઓ રસ્તામાં અવરોધરૂપ બનતા હતા. તેમને કાપવાને બદલે જીવતદાન આપવાના ઉદ્દેશ્યથી નગરપાલિકાએ આ નિર્ણય લીધો. નગરસેવક જયેશ પટેલ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના આયોજન હેઠળ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના બોટનિસ્ટ રોશન વિહોલની ટીમે આ કામગીરી હાથ ધરી. આ ટીમે અગાઉ 3500થી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું છે. બોટનિસ્ટ રોશન વિહોલે ટ્રી ટ્રાન્સપ્લાન્ટની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવતા જણાવ્યું કે, સ્થળાંતર પહેલા વૃક્ષોના પાંદડા અને ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. પાણીનો વ્યય અટકાવવા ફૂગનાશક અને બોડી એક્સનું મિશ્રણ લગાડાયું. ત્યારબાદ વૃક્ષના મૂળની ફરતે ગોળાકાર ખાડો કરી, મુખ્ય પોષક મૂળિયાં સમેત હાઈડ્રા મશીનથી વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું. છાલ કે ડાળી પરના ઘસરકાની આડઅસર રોકવા મોરથુથુના દ્રાવણનો પાટો બાંધવામાં આવ્યો. નવા સ્થળે ખાડો કરી તેમાં જંતુનાશક દવા, ગ્રોથ પ્રમોટર અને વર્મી કમ્પોસ્ટ ખાતરનું મિશ્રણ ઉમેરી વૃક્ષનું પુનઃ સ્થાપન કરાયું છે. આ પદ્ધતિથી રોપાયેલા વૃક્ષો એક મહિનામાં ફરીથી પલ્લવિત થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, પાટણમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે. તેની સફળતા બાદ આગામી સમયમાં અન્ય સ્થળોએ પણ આ પદ્ધતિનો અમલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹30,000નો ખર્ચ થવાની શક્યતા છે. વૃક્ષોના સ્થળાંતર બાદ ખાલી થયેલી જગ્યા પર ભવિષ્યમાં સિનિયર સિટીઝન પાર્ક અથવા બગીચો બનાવવાનું પાલિકા દ્વારા આયોજન છે.
પેટલાદમાં વરલી મટકાનો અડ્ડો ઝડપાયો:આણંદ LCBએ 5 શખ્સોને રૂ. 21,550 મુદ્દામાલ સાથે દબોચ્યા
આણંદ જિલ્લામાં જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વરલી મટકાના આંકડાના જુગાર પર દરોડો પાડીને પોલીસે 5 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદકુમારને સચોટ બાતમી મળી હતી કે પેટલાદના ખતીફવાડા સામે આવેલા એક જૂના મકાન પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આણંદ LCBની રેઇડ દરમિયાન પેટલાદ ટાઉન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પઠાણ વાડાનો આદિલખાન મોહતરમખાન પઠાણ, કાછીયાવાડનો ઇરફાનુદ્દીન નાજીમુદ્દીન કાજી, ઝંડાબજારનો રફીકઉદ્દીન શજાઉદ્દીન શેખ, ચબુતરી બજારનો ઇરફાનુદ્દીન મૈયુદ્દીન શેખ અને ગોલવાડ વિસ્તારનો વિરલકુમાર અરવિંદભાઈ રાણાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનો અન્ય સામાન મળી કુલ રૂ. 21,550/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આંકડા લખવાની સ્લીપ બુક અને પેન પણ જપ્ત કરવામાં આવી છે. જ્યારે બોરસદનો બહેતુલ્લાખાન પઠાણ નામનો એક આરોપી હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પેટલાદ ટાઉન પોલીસ મથકે જુગાર ધારાની કલમ 12(અ) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. આઈ.જે. રાણા તથા એ.એસ.આઈ. દિલીપભાઈ, એચ.સી. યશપાલસિંહ અને પી.સી. ખુશ તથા તૌસીફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
વલસાડમાં બાળકે 1 રૂપિયાનો સિક્કો ગળી લીધો:સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો
વલસાડના ગુંદલાવ ખાતે રમત રમતમાં એક બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી લીધો હતો. સિક્કો અન્નનળીમાં ફસાઈ જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક સફળ ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંદલાવના સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહતોનો પુત્ર બુધવારે સાંજે ઘરે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક હાથમાં આવેલો સિક્કો મોઢામાં નાખી દીધો અને ગળી ગયો. સિક્કો ગળી જતાં બાળકને ખાવા-પીવામાં અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. પરિવારજનોએ બાળકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સિવિલ હોસ્પિટલના સીએમઓ ડૉ. કરણ ચંદેલના જણાવ્યા મુજબ, બાળકને બુધવારે દાખલ કરતા જ તેને ENT વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે તપાસમાં સિક્કો બાળકની અન્નનળીમાં ફસાયેલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. સફળતાપૂર્વક સિક્કાને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડૉ. કરણ ચંદેલે વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, નાના બાળકોની આસપાસ સિક્કા કે અન્ય નાની વસ્તુઓ ખુલ્લી ન રાખવી જોઈએ. જો આવી કોઈ ઘટના બને તો સમય બગાડ્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. બાળકનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ
Silver and Gold Price Crash : દેખીતી રીતે આજે સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં 9% જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ચાંદીમાં મોટું ગાબડું MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના વાસણા ચંદ્રનગર BRTS બસ ટ્રેકમાં ગૌવંશ લઈને જતી કારનો અકસ્માત થયો હતો. BRTS ટ્રેકમાં બેફામ સ્પીડે ગૌવંશ ભરેલી ગાડી લઈને જતા કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં BRTS ટ્રેકના દરવાજા, લાઈટના પોલ તેમજ ડિવાઈડર સહિતની જગ્યાઓને નુકસાન થયું હતુ. અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ ગાડીમાં જોતા ગૌવંશ હતું જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. BRTS બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના થાંભલા સાથે ગાડી અથડાઈમોડી રાત્રે વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર BRTS ટ્રેકમાં જોરદાર અકસ્માત થયો હતો. ગૌવંશ લઇને જતી કારના ચાલકે બેફામ સ્પીડે BRTS ટ્રેકમાં ગાડી ચલાવી હતી લગભગ 100થી વધારેની સ્પીડમાં ગાડી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. જેમાં ગાડી ચંદ્રનગર BRTS બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ડિવાઈડરને પણ નુકસાન થયું હતું. અકસ્માત થતાની સાથે જ ગાડી ઊભી રહી ગઈ હતી. 3 ભાગી ગયા એક પકડાયોઅકસ્માતનો અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગાડીમાં જોતા ખૂબ જ ખરાબ હાલતમાં ચાર જેટલા ગૌવંશ ખીચોખીચ રીતે ભરી રાખવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયેલી ગાડીમાંથી ઉતરીને ત્રણ લોકો ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ગૌરક્ષકો પકડવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયોસ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ગૌરક્ષકો દ્વારા ગૌવંશ લઈ જતી ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કારચાલકે બેફામ સ્પીડે ગાડી ચલાવી હતી અને BRTS ટ્રેકમાં આ અકસ્માત કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગૌરક્ષકો ગૌવંશની તસ્કરી કરનારા લોકોને પકડવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને સમગ્ર બાબત સામે આવી હતી. પોલીસે એક આરોપીની અટક કરી બાકીના આરોપીની તપાસ શરૂ કરી છે.
પોરબંદરમાં DYSP ઓફિસ અને કલેક્ટર કચેરી નજીક યુવા પત્રકાર ઓમ જોશી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખનીજ ચોરીના અહેવાલો લખવા બદલ તેમને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં પત્રકારને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સાંજે 5:30 થી 6:00 વાગ્યાના અરસામાં બની હતી. પત્રકાર ઓમ જોશી કલેક્ટર કચેરીથી માહિતી મેળવી પરત ફરી રહ્યા હતા ત્યારે DYSP (ગ્રામ્ય) ઓફિસની પાછળના ભાગે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો લોખંડના પાઈપ અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા. ઓમ જોશીએ જણાવ્યું કે, હુમલાખોરોએ તેમને ખનીજ ચોરી વિશે અહેવાલો લખવા બદલ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ કહ્યું કે, તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અહેવાલો લખે છે, આજે તો તને જીવતો મૂકવો જ નથી. ત્યાર બાદ તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જીવ બચાવવા પત્રકાર કલેક્ટર કચેરી તરફ દોડ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમના ડાબા હાથ પર પાઈપનો જોરદાર ફટકો વાગતાં ગંભીર ઈજા થઈ હતી. હુમલા દરમિયાન તેમની દોઢ તોલાની સોનાની વીંટી પણ ક્યાંક પડી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઘટના બાદ પત્રકારે તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હાલ તેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્રકાર ઓમ જોશીએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલા પાછળ કોઈ મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનું કાવતરું હોઈ શકે છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્ય અક્ષય ભરતભાઈ નાયકાને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે તપાસમાં અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ ન. 2ના સભ્ય અક્ષય નાયકા દ્વારા પોતાના સગા ભાઈના નામે પંચાયતના કામોના બિલો મૂકી પદનો દુરુપયોગ કરાયો હોવાનું સાબિત થયું હતું. આ ઘટનાથી અતુલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ફરી ખળભળાટ મચ્યો છે. અગાઉ અતુલ ગ્રામ પંચાયતના સરપંચ અને ત્યારબાદ ડેપ્યુટી સરપંચને પણ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. અને તાજેતરમાં અતુલના વોર્ડ ન. 2ના સભ્ય અક્ષય નાયકાને પર પદના દુરુપયોગનો આરોપ હતો, જેની તપાસ બાદ તેમને TDO દ્વારા તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ મામલે પુનીત પી. સોનીએ ગત વર્ષે મે મહિનામાં TDO અને DDOને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સભ્ય દ્વારા રજૂ કરાયેલું સોગંદનામું ખોટું હતું, કારણ કે સ્થળ તપાસમાં સભ્ય, તેમની માતા અને ભાઈ એક જ ઘરમાં રહેતા હોવાનું સાબિત થયું હતું. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું કે સભ્ય અક્ષય નાયકા પોતાના ભાઈના નામે પંચાયતમાં બિલો મૂક્યા હતા. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-30(ઝ) મુજબ આ કૃત્ય ગેરલાયકાત ગણાય છે. આથી, TDO રાજેશ ધનગરે કલમ-32(1) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને અક્ષય નાયકાને પદ પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.
મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સાર – સકારાત્મકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે અને વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લાવીને વિશ્વમાં પરિવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જયંતિ દીદીની ઉપસ્થિતિમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ કહ્યું કે, આપણે સૌ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં સકારાત્મક ઊર્જા રહેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આપણે માત્ર આપણામાં જ નહીં, પરંતુ આપણામાંથી બીજાને પણ સકારાત્મક ઊર્જા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું. તેમનું અવસાન તા. 6/2/2025 ના રોજ થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસના દરોડા, 80 યુવક-યુવતી ઝડપાયા
Ahmedabad Sanand News : અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 80 જેટલાં લોકોની ધરપકડ
સિદ્ધિ:અમરગઢ ડેન્ટલ કોલેજના હંસા ભોજને શ્રેષ્ઠ લાઈબ્રેરીયન એવોર્ડ
અમરગઢ(જીથરી) સ્થિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ લાઇબ્રેરિયન હંસા ભોજને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ અને પ્રતિબદ્ધતા બદલ HSLACON–2026 બેસ્ટ લાઇબ્રેરીયન (ડેન્ટલ કોલેજ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માધવ યુનિવર્સિટી, અબુ રોડ–પિંડવારા (રાજસ્થાન) ખાતે યોજાયેલા HSLACON–2026 નૅશનલ કોન્ફરન્સ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદનું આયોજન હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન, ગુજરાત દ્વારા “ડિજિટલાઇઝેશન અને લાઇબ્રેરીઓનું પુનઃઆકારણ: વિકાસશીલ ભારત 2047 માટેના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન” વિષય હેઠળ કરવામાં આવ્યું હતું. હંસા ભોજને ડેન્ટલ શિક્ષણ ક્ષેત્રમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ, ડિજિટલ સેવાઓ અને શૈક્ષણિક વિકાસ માટે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા સંસ્થા તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ઊભી થઈ છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:પાલિતાણામાં બોલેરો ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું
પાલિતાણા ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા ખુલ્લા મેદાનમાં બેસેલા હતા ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા, બોલેરો પીકઅપ વાહન મેદાનમાં બેસેલા વૃદ્ધ મહિલા સાથે બોલેરોનો અક્સમાત થયો હતો. જે બાદ વૃદ્ધ મહિલા ઉપર બોલેરોનું ટાયર ફરી વળતા વૃદ્ધ મહિલાને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જેમાં બોલેરોના ચાલક વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણાના વેલનાથ વાડી તળાવ વિસ્તારમાં રહેતા અને મૂર્તિકામ કરતા વિજયબાઇ બાબુભાઇ ભાટીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પંચ્યાશી વર્ષીય દાદી ગોદીબેન જીવાભાઇ ભાટી તેમની સાથે રહેતા હતા. તેમના દાદી ગોદીબેન આજે મંડપ સર્વિસના ગોડાઉન પાસે આવેલ ખુલ્લા મેદાનમાં બેઠા હતા જે દરમિયાન બોલેરો પીકઅપ વાહન નં. GJ 05 BV 5619 માંથી મંડપનો સામાન ઉતારી રહ્યા હતા અને બાદમાં બોલેરોના ચાલકે પીકઅપ શરૂ કરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દિધો હતો અને ચાલકે ખુલ્લા મેદાનમાં બેસેલે ગોદીબેન ઉપર પીકઅપનો અકસ્માત કરતા, ગોદીબેન ઉપર બોલેરો પીકઅપનું ટાયર ફરી વળતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પંચ્યાશી વર્ષીય ગોદીબેનનું અકસ્માતે મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
વીજચોરી ઝડપાઇ:પાલિતાણા ડિવિઝનમાંથી રૂ.31 લાખની વીજચોરી ઝડપાઇ,વિજચોરો તંત્રની ઝપટે
PGVCL ભાવનગર સર્કલમાં GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના પાલિતાણા ડિવિઝન નીચે આવતા તળાજા અને પાલિતાણા તાલુકાના ત્રાપજ, તળાજા-2, પીથલપુર અને ઘોડીઢાળ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.31 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. PGVCL પાલિતાણા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 12, સ્થાનિકની 24 અને GUVNLની 17 ટીમો મળી કુલ 53 ટીમોના કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કાર્યવાહીમાં 387 રહેણાકી અને 9 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 396 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 126 રહેણાકી અને 3 ખેતીવાડી શ્રેણીના કુલ 129 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી પકડી પાડવામાં આવ્યા હતા. પાલિતાણા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં તળાજા અને પાલિતાણા તાલુકાના તળાજા શહેર સહિત સોસીયા, રાજપરા, સાંખડાસર-2, સરતાનપર, નીચડી, ખંઢેરા, કંજરડા અને હાથસણી ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 12 એસ.આર.પી. જવાન, 20 GUVNL પોલીસ અને 12 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. તંત્રના ચેકીંગથી વિજચોરી કરનારાઓમાંમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઠગાઇ:તળાજાના લોખંડના વેપારી સાથે 2.30 લાખની ઠગાઇ કરી
ભાવનગર જિલ્લાના તળાજાના લોખંડના વેપારી પાસેથી લાખો રૂપિયાના પતરા, લોખડના પાઇપોની બે શખ્સોએ ખરીદી કરી હતી અને જેના બદલામાં એક ચેક આપેલ હતો. જે ચેક પરત ફર્યો હતો. બગદાણા ગામે ગૌશાળાનો શેડ બનાવવાનું કહી, લાખો રૂપિયાની વસ્તુઓની ખરીદી કરી, ખોટા ચેક આપી, બે શખ્સોએ છેતરપિંડી આચરતા તળાજાના વેપારીએ તળાજા પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તળાજાના રામપરા રોડ પર રહેતા અને યાર્ડ નજીક દુકાન ધરાવતા અબ્બાસભાઇ હસનભાઇ કપાસીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બગદાણા ખાતે થી પંકજભાઇ બોલું છું તેમ કહી એક શખ્સે ફોન કર્યો હતો અને ફોનમાં અમારે બગદાણા ખાતે ગૌશાળા ખાતે માલ ઢોરનો શેડ બનાવવાનો હોય જેથી લોખંડના પાઇપો તેમજ પતરા જોવે છે તેમ કહી, ભાવતાલ નક્કી કરી, અબ્બાસભાઇ પાસેથી રૂા. 2,30,000ના લોખંડના પાઇપો, પતરાની ખરીદી કરી હતી અને તેના બદલામાં આઇસર મોકલી ડ્રાઇવર સાથે રૂા. 2.30 લાખનો ચેક મોકલ્યો હતો. વેપારીએ માલ સામાન ટ્રકમાં ભરી આપી, બીજા દિવસે આપેલ ચેક બેન્કમાં જમા કરાવતા જે ચેક પરત ફર્યો હતો. અને જે બાદ વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા વેપારી અબ્બાસભાઇ હસનભાઇ કપાસીએ છેતરપિંડી કરનાર પંકજ તેમજ અજાણ્યા ડ્રાઇવર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ ટોળકી દ્વારા અનેક લોખંડના વેપારી સાથે ઠગાઇ આચરી હોવાનું જાણવા મળ્યું હતું અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પાલિતાણાનો પંકજ ઉર્ફે જીગો નાવડીયા, વિજય ઉર્ફે ખીર પરમાર તેમજ બાબુ ગોહિલની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. અને આ ઘટનામાં સંડોવાયેલો વધુ એક શખ્સ અશરફ ઉર્ફે આપા જુણેજા ફરાર થઇ જતાં અમરેલી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે. આ ટોળકીએ અમરેલી, જાફરાબાદ,ત મહુવા અને તળાજા વિસ્તારના લોખંડના વેપારીને નિશાન બનાવ્યા હતા. ત્રણ દિવસમાં તળાજા અને મહુવાના ત્રણ વેપારીઓ સાથે ઠગાઇ આચરીછેલ્લા ત્રણ દિવસમાં બે આરોપીએ તળાજા અને મહુવાના ત્રણ વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરી હોવાની મહુવા ટાઉન પોલીસ અને તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે ઠગાઇ કરનાર બંન્ને શખ્સે બગદાણા ખાતે ગૌશાળામાં પતરાનો શેડ બનાવવાનું બહાનું કાઢી સરખી મોડસ ઓપરેન્ડી અપનાવી લાખો રૂપિયાનો માલ સમાન ઓળવી ગયા. લાખો રૂપિયાની ઠગાઇ કરનાર શખ્સો હાથવેંતમાં : પોલીસ સુત્રોત્રણ જ દિવસમાં લાખો રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાવા પામતા પોલીસે પણ જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસને કામે લગાડ્યા હતા. જે મામલે તળાજા પોલીસના અંગત સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, લાખોની ઠગાઇ કરનાર બંન્ને શખ્સો હાથવેંતમા હોવાનું અને ધરપકડ પણ થશે.
રેલવે સુવિધાઓમાં થશે વધારો:બજેટમાં ગુજરાત રેલવેને મોટી રકમ ફાળવાઇ, સુવિધાઓ વધશે : ભટ્ટ
ગુજરાતની રેલવે સુવિધાની વિવિધ યોજના માટે કેન્દ્રીય જનરલ બજેટ 2026-27માં 17,366 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમની ફાળવણી થકી ધોલેરા, બોટાદની રેલવે સુવિધાઓને જડપી ન્યાય મળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર શ્રીકિશોર ભટ્ટ જણાવ્યું હતુ કે, ભાવનગર-અધેળાઇ-ધોલેરા-અમદાવાદ રેલવે લાઇન માટે કામગીરી હવે આગળ ધપશે. અમદાવાદથી ધોલેરાની રેલવે લાઇન માટે જમીન સંપાદનનું કામ પણ શરૂ થયુ છે અને તેના માટે બે અધિકારીની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત કોસ્ટલ રેલવે લાઇન ડેવલપ કરવાનું સરકારનું સ્વપ્ન છે, તેમાં મહુવા-તળાજા-અલંગ-ભાવનગરની રેલવે લાઇન પુન: શરૂ કરી શકાય તેના માટે કાર્યવાહી આગળ ધપવાના એંધાણ છે. ઢસા-જેતલસર-બોટાદ ગેજ કન્વર્ઝનની કામગીરી સંપન્ન થયા બાદ ભાવનગર રેલવે ડિવિઝનને ટ્રેનોને વેગ મળ્યો છે. અમરેલી-ખીજડીયા રેલવે લાઇનનું કામ ગતિમાં છે. ઉપરાંત ગઢડા-નિંગાળાની જૂની લાઇન પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ પેસેન્જર એસો. દ્વારા કરવામાં આવી છે. બજેટમાં ગુજરાતના રેલવે માટે મોટી રકમની ફાળવણી કરવામાં આવતા, ભાવનગર, બોટાદ જીલ્લા રેલ્વે સુવિધાથી વંચિત તાલુકાઓને ભાવનગર, તળાજા, ઘોઘા, વલભીપુર, ગારીયાધાર, જેસર પણ ક્રમે ક્રમે રેલવે લાઇન સાથે જોડાય તેવી આશા મજબૂત બની રહી છે.
નિમણૂક:જીપીસીબીના નવા પ્રાદેશિક અધિકારી તરીકે મનીષ બારડ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રાજ્યમાં મોટાભાગના પ્રાદેશિક અધિકારીની બદલી કરવામાં આવી છે. ભાવનગર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરને ગાંધીનગર હેડ ઓફિસ ખાતે બદલી આપવામાં આવી છે, જ્યારે તેઓના સ્થાને ભાવનગર ખાતે પ્રાદેશિક અધિકારી તરીકે સ્ટેટ લેવલ એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના પર્યાવરણ ઇજનેર મનીષ જી. બારડની બદલી કરવામાં આવી છે.
પઠાણી ઉઘરાણી બદલ કાર્યવાહી:વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના આચાર્યની અટક
સુરતના બિલ્ડરે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના આચાર્ય સહિત ચાર વ્યાજખોર શખ્સો વિરૂદ્ધ રૂા. 45.70 લાખની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેના બદલામાં પાંચ વીઘા જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી, જમીન દોઢેક કરોડ રૂપિયામાં ગેરકાયેદસર રીતે વેચાણ કરી નાંખી હતી. ફરિયાદી પાસે વધુ અઢી લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા પી.એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી,માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદીએ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય સહિત ચાર શખ્સો વિરૂદ્ધ વ્યાજ વટાવ સહિતની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર પૈકી ત્રણ ભાઇઓની અટક કરી હાલ પૂછપરછ શરૂ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રજનીભાઇ લાલજીભાઇ જાસોલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પૈસાની જરૂર પડતાં તેમને રઘુભાઇ સોંડાભાઇ રબારીના સંબંધી ભુપતભાઇ કરમટીયા, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય વાઘજીભાઇ કરમટીયા પાસેથી રૂા. 45.70 લાખ વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં ચારેય આરોપીઓએ ફરિયાદીની અધેવાડા પાસે આવેલી પાંચ વીઘા જમીનના દસ્તાવેજ કરાવી લીધો હતો. અને ફરિયાદી પાસેથી દસ લાખ રૂપિયા વસુલ કરી, જમીનનો રીટર્ન દસ્તાવેજ કરી આપવાનો વાયદો આપેલ હતો. અને બાદમાં આ જમીન ગેરકાયદેસર રીતે દોઢેક કરોડમાં વેચાણ કરી નાંખેલ હતું. અને ફરિયાદીએ સમયસર વ્યાજ ચુકવ્યું હોવા છતાં પણ માનસિક ત્રાસ આપતા હતા. અને ફરિયાદીને તેમની જમીન વેચાણ થયાનું જણાતા આરોપીઓ પાસે રૂપિયાની ફરિયાદીએ માંગણી કરી હતી. તમામ આરોપીઓએ ફરિયાદી પાસેથી સામા અઢી લાખ રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવું પડશે તેમ કહી, પચ્ચીસ હજાર રૂપિયા પડાવી, વધુ વ્યાજની ઉઘરાણી કરી, જમીન પરત ન કરી, ત્રાસ ગુજારતા રજનીભાઇએ ભરતનગર પોલીસ મથકમાં ભુપત કરમટીયા, ગોકુળ કરમટીયા, વાઘજી કરમટીયા અને રઘુ સોંડાભાઇ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક આરોપીએ પોલીસમાંથી અગાઉ રાજીનામું આપેલભરતનગર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળભાઇ કરમટીયા અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ એ.એસ.આઇ. તરીકે કામગીરી કરતા હતા પરંતુ આ આરોપીએ પોલીસમાંથી રાજીનામું આપેલ હતું. પરંતુ આરોપી ગોકુળ કરમટીયાએ ફરિયાદી રજનીભાઇને અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી, ત્રાસ ગુજાર્યો હતો.
મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયું:અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ
માનવ સેવા અને જીવદયા સત્કાર્યો માટે સદાય તત્પર રહેતા ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દ્વારા પ્રેરણાદાતા અને અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની ૩૫ મી દીક્ષા જયંતી અવસરે ભાવનગરના સાધારણ પરિવાર ના વ્યક્તિ ઓ માટે વિશેષ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ 8 મી ફેબ્રુઆરી રવિવારે સવારે 10 થી 1 અંજાનિયા વિંગ્સ સત્યનારાયણ રોડ A to z દુકાન ની સામે ભાવનગર રાખવામાં આવેલ છે. આ કેમ્પ માં ભાવનગર ના નિષ્ણાત ડોક્ટર્સ નિ: સ્વાર્થ ભાવે સેવા અર્પણ કરશે . તેઓ વિવિધ પ્રકારના આંખના, દાતના, ચામડીના, માનસિક રોગોના, હાડકાના, આદિ દર્દને તપાસી ચેક કરી યથા યોગ્ય માર્ગદર્શન આપશે. જરૂરી દવાઓ લખી આપશે. અને યથા યોગ્ય સહાય પણ આપશે. . આ ફ્રી મેડિકલ કેમ્પ નો લાભ લેનાર દર્દીઓએ ફરજિયાત આ નંબર - 9136442493 પર પોતાનું નામ એડ્રેસ અને દર્દી નું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે .
વોકેથોનનુ આયોજન કરાયું:સ્પર્શ કેર, બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોનનુ આયોજન કરાયુ
વર્લ્ડ કેન્સર ડે ના અનુસંધાને કેન્સર જનજાગૃતિ માટે 1 ફેબ્રુઆરીના સ્પર્શ કેન્સર કેર અને ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવેલ. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર રોગને અટકાવવા જનજાગૃતિ ફેલાવાનો તેમજ કેન્સર રોગમાં પીડાતા દર્દી પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને કેવી રીતે બહાર લાવવા તે મુખ્ય હતો. કેન્સર સામે લડવા અને દર્દી દેવો ભવઃ ના મંત્ર સાથે સ્પર્શ કેન્સર કેર અને બિમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા જનજાગૃતિ વોકેથોન નું આયોજન થયેલ. જેમાં વધુને વધુ યુવાનો તથા વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરની ખ્યાતનામ સ્કૂલો રેંજર ટીમના ૫૦૦થી વધારે સ્કાઉટ ગાઈડ જેઓ જિલ્લા મંત્રી અજયભાઇ ભટ્ટ ના માર્ગદર્શનમાં જોડાયા હતા અને કેન્સર માટેની જનજાગૃતિ ફેલાવવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત ભાવનગરની બેસ્ટ બિમ્સ હોસ્પિટલ ના મેડિકલ ડિરેક્ટર ડો. સ્નેહલ રવિસાહેબ તથા મોઢા અને ગાળાના કેન્સરના સર્જન ડો. સિદ્ધાર્થ વ્યાસ દ્વારા લોકોને માર્ગદર્શન અપાયુ હતું. સમગ્ર કાર્યક્રમ ડો. જ્યોતિકાબેન જોશીના માર્ગદર્શનમાં સ્પર્શ કેન્સર કેર દ્વારા અને બિમ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો
લ્યો બોલો!:ચાર્જ સંભાળ્યાનો મહિનો પૂરો થાય તે પહેલા જ શાસનાધિકારીએ બદલી માંગી
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાને હજુ એક મહિનો પણ પૂરો ન થયો ત્યાં નવનિયુક્ત શાસનાધિકારીએ શિક્ષણનું જ્ઞાન છે પરંતુ વહીવટી જ્ઞાન નહિ હોવાનું કારણ ધરી બદલીની માગણી પણ કરી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની 69 શાળામાં 30,530 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના મુખ્ય વહીવટી અધિકારી તરીકે શાસનાધિકારી સક્ષમ હોવા જરૂરી છે. ઓક્ટોબર-2022 થી ડિસેમ્બર 2025 સુધી શાસનાધિકારી તરીકે મુંજલ બડમલીયાએ ફરજ બજાવી હતી. સાથો સાથ ચેરમેન તરીકે નિકુંજ મહેતા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ગત 26મી ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ના રાજ્યના 200 મુખ્ય શિક્ષકો અને અધિકારીની થયેલી બદલીમાં ભાવનગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીની પણ બદલી થઈ હતી અને સીદસર પીએમશ્રી મોડલ સ્કૂલના મુખ્ય શિક્ષક સમીરભાઈ જાનીની ભાવનગર શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે નિમણૂક થઈ હતી. અને તેઓ 30મી ડિસેમ્બરે હાજર થયા હતા. પરંતુ બાળકોને ભણાવતા ભણાવતા સીધા જ સમગ્ર શહેરની શાળાઓનું સંચાલન અને વહીવટ કરવામાં શરૂઆતથી જ શાસનાધિકારી સમીર જાનીને મુશ્કેલી પડતી હતી. શરૂઆતમાં જ શિક્ષણ સમિતિ નું બજેટ આવતા સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચામાં પણ પદાધિકારીઓના પ્રત્યુતર આપવામાં અઘરૂ થયું હતું. જેથી 27 મી જાન્યુઆરીથી રજા પર ચાલ્યા ગયા છે અને. શિક્ષણ વિભાગમાં પણ લેખિતમાં પત્ર લખી વહીવટી કાર્ય કુશળતા નહીં હોવાના કારણસર મુખ્ય શિક્ષક તરીકે અન્ય જવાબદારી સંભાળવા તૈયારી બતાવી બદલીની માગણી કરી છે. સાથોસાથ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા દ્વારા પણ લેખિતમાં શાસનાધિકારીની જાહેર હિતમાં બદલી કરવા અને સક્ષમ અધિકારીની માગણી કરી છે. આમ શાસનાધિકારીને ચાર્જ સંભાળ્યા નો હજુ મહિનો પણ પૂરો થયો નથી ત્યાં બદલીની માગણી કરતા શિક્ષણ વર્તુળમાં પણ ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં આગામી બજેટ સાધારણ સભામાં મંજુરી માટે આવે તે પહેલા જ શાસનાધિકારીએ બદલીની માંગણી કરી મુખ્ય શિક્ષક તરીકે ફરજ સોંપવા જણાવ્યું છે.
લોક માંગ:ખોડિયાર મંદિરના ટ્રાફીકને ધ્યાનમાં રાખી ડબલડેકરની સુવિધાની માંગણી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સિટીબસની સેવા બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સિટીબસ સેવા ફરી શરૂ થઈ રહી છે ત્યારે ભાવનગરથી ખોડિયાર મંદિર સુધી જવાના ટ્રાફિકને ધ્યાનમાં રાખી અગાઉની માફક ડબલ ડેકર બસ સેવા શરૂ કરવાની માંગણી થયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા વારંવારની રજુઆત છતા છેલ્લા કેટલાક વર્ષોથી સિટીબસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સિટીબસ સેવા ચાલુ રહે તે માટે કોન્ટ્રાકટર દ્વારા અન્ય શહેરોની માફક સરકારની કિલોમીટર દીઠ સબસીડીની માંગણી કરવામાં આવી હતી. પણ આ સબસીડીમાં અન્ય મહાનગરોની માફક કોર્પોરેશનને પણ ફાળો આપવાનો થતો હતો જે નહી અપાતા કોન્ટ્રાકટરે સિટી બસ સેવા બંધ કરી દીધી હતી. સમગ્ર દેશમાં ઈ-બસ સેવા માટે કેન્દ્ર સરકારે યોજના બનાવતા એ યોજનાના ભાગરૂપે ભાવનગરમાં પણ 40 જેટલી ઈ-બસ આવી ગઈ છે અને બીજી 60 જેટલી ઈ-બસ આવવાની બાકી છે. ખોડિયાર મંદિર જવા માટે શહેરના અને આજુબાજુના ગામોના લોકોનો પણ ખુબ ધસારો હોય છે. ભુતકાળમાં પણ શનિ-રવિમાં ખોડિયાર મંદિર રૂટ પર ડબલડેકર બસ દોડાવવામાં આવતી હતી અને તે ભરચક રહેતી હતી ત્યારે આ રૂટ પરની ઈ-બસ પણ ડબલડેકર મેળવવામાં આવે તો ખોડિયાર મંદિરના દર્શનાર્થીઓને સુવિધારૂપ બને તેમ છે. આ અંગે કોર્પોરેશનના તંત્રવાહકોનો સંપર્ક સાધતા જે 100 નવી ઈ-બસ આવવાની છે તેમાં ડબલ ડેકર બસ નથી અને ડબલડેકર બસ માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલ કોઈ માંગણી કરવામાં પણ આવી નથી તેમ જણાવાયું છે. ભરતનગર રૂટ પર પણ ડબલ ડેકર બસ જરૂરીખોડિયાર મંદિરનો રૂટ સિટી બહારનો હોવાથી આ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવામાં આવે તો ઉંચાઈની કોઈ તકલીફ પડે તેમ નથી. એ જ રીતે ભરતનગર રૂટ ઉપર પણ ટ્રાફિક વધારે રહેતો હોવાથી ભરતનગર રૂટને પણ ડબલ ડેકર બસ ફાળવવામાં આવે તો ઓછી બસ દોડાવવાની જરૂર પડે પરિણામે પર્યાવરણનો જ હેતુ છે તે પણ જળવાઈ રહે.
પાણી કાપ:ભરતનગર, તરસમિયા, કાળિયાબીડ ઘોઘારોડમાં બે દિવસ પાણી નહીં મળે
મહી પરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા.6 થી 8 ફેબ્રુઆરી સુધી મેન્ટેન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેવાનો હોવાના લીધે આગામી તા.6ને શુક્રવાર અને તા.7ને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીએ છીએ કે, ભાવનગર શહેરના રહેણાકી વિસ્તાર પૈકી 40% થી વધુ વિસ્તારમાં મહીપરીએજનું પાણી વિતરણ કરવામાં આવે છે. જે ત્રણ દિવસ મળી શકશે નહીં. નાવડા હેડ વર્કસમાં રીપેરીંગ કરવા માટે ભાવનગર શહેરમાં પણ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જેમાં તા.6ને શુક્રવારના રોજ સવારે 10 કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારોમાં વર્ધમાનનગર ESR આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસિડેન્સી, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર તેમજ દિલબહાર ESR આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, KPES સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર તદુપરાંત બાલયોગીનગર ESR આધારિત સુભાષનગર રાજપૂત વાડા, ગાયત્રીનગર આવાસ યોજના ઘોઘારોડ, અકવાડા અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. તા.7ને શનીવારના રોજ સવારે 4 કલાકથી સવારે 10 કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારોમાં વર્ધમાનનગર ESR આધારિત ભરતનગર જુના બે માળિયા, સિંગલીયા (ભરતનગર), શિવ પાર્વતી, હરિઓમનગર, શ્રીનાથજીનગર, કૌશલ્યા પાર્ક, કૈલાશનગર, અધેવાડા ગામતળ વગેરે વિસ્તાર તેમજ દિલબહાર ESR આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, આઝાદનગર, ઇસ્કોન મેગાસીટી, માધવબાગ વગેરે વિસ્તારમાં તેમજ બાલયોગીનગર ESR આધારિત ગાયત્રીનગર, ખારસી વિસ્તાર, બરસાના, સ્વપ્નશિલ્પ, સિદ્ધિ વિનાયક સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય અપાશે નહીં. તરસમીયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી વિતરણ ડહોળાયું
રોગચાળો વકર્યો:કૃષ્ણનગરમાં નળ-ગટરનું પાણી ભેગુ થઈ જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો
કૃષ્ણનગર વિસ્તારમાં નળ સાથે ગટરનું પાણી ભળી જતા ઝાડા - ઉલ્ટીનો વ્યાપક રોગચાળો શરૂ થયો છે. આ વીસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીમાં દુર્ગંધની ફરિયાદો હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા ન હતા. કૃષ્ણનગર વિસ્તારમાં બહુચરમાતાના મંદિરથી દાણીબાઈ કન્યા છાત્રાલય, જૈન દેરાસરની પાછળનો વીસ્તાર, મહિલા કોલેજ સર્કલ વીસ્તારમાં નળ - ગટરનું પાણી ભેગુ થઈ ગયુ હોવાથી ઝાડા, ઉલ્ટીનો વ્યાપક વાયરો શરૂ થયો છે. લોકોને ફરજીયાત પીવા માટે બહારથી પાણી મંગાવવુ પડે છે. આ વીસ્તારના રહીસોના જણાવ્યા મુજબ આ અંગે વારંવાર લેખીત - મૌખીક રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી. પરિણામો ઈંદોર જેવી ઘટના બનવાની પણ ભીતી છે. કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા રસ્તાના કામોને કારણે પાઈપલાઈન તુટતા આવુ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે પણ યુદ્ધના ધોરણે જો આ ક્ષતિ દૂર કરવામાં ન આવે તો ભાવનગરમાં મોટી દુર્ઘટના થયાની પણ સંભાવના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈંદોર અને અમદાવાદમાં તાજેતરમાં નળ-ગટરના દુષિત પાણીને કારણે અનેક લોકોના મોત નિપજયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડયા હતા. ત્યારે ભાવનગરની આ ઘટના ગંભીર છે.
આપમાં આંતરિક વિવાદ:વલભીપુર આમ આદમી પાર્ટીના નવા પ્રમુખની નિમણૂંક સામે પક્ષમાં ભડકો
વલભીપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ સામે પક્ષના કાર્યકર્તાઓમા નારાજગી ફેલાઈ છે. તાલુકા પક્ષ પ્રમુખ તરીકે પચ્છેગામના અને જુના કોંગ્રેસ કાર્યકર દશરથસિંહ ગોહિલએ થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને તે સાથે જ પક્ષના દ્વારા તેમને વલભીપુર તાલુકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. વલભીપુર તાલુકા આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ નિયુક્ત થતા નવા પ્રમુખના ગામના અને પચ્છેગામના પૂર્વ સરપંચ અને આપ પાર્ટીના તખતસિંહ ગુમાનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નવા પ્રમુખની જે નિયુક્તિ કરવામાં આવી છે તે દસ દિવસથી આવેલા કોંગ્રેસી છે તો શું કોંગ્રેસને દગો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સીધા જ તાલુકા પ્રમુખ તરીકે બેસાડી દીધા છે કોઈપણ જૂના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા નથી. વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયો છે. ત્યારે આગામી સમયમાં પચ્છેગામ ધામમાં ભાગવત સપ્તાહ નિમિત્તે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે વલભીપુર તાલુકાના કાર્યકર્તાઓ નારાજ છે. 10 દિવસથી આવેલા કોંગ્રેસીને વલભીપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દશરથસિહ ગોહિલને બનાવતા વલભીપુર તાલુકાના કાર્યકર્તાઓ નારાજ છે. ગોપાલ ઇટાલીયા ભાવનગર આવે તે પહેલા જુના કાર્યકર્તાઓને પ્રમુખ નહીં બનાવે તો કંઈક નવાજુનીની શકયતા છે. આ બાબતને આપના જિલ્લા ઉપપ્રમુખ બનેશંગભાઈ મોરીએ પણ તખ્તસિંહ ગોહિલને સમર્થન આપ્યું છે. વલભીપુર બન્યું વિવાદનું એપી સેન્ટરરાજકીય રીતે વારંવાર વલભીપુર વિવાદમાં સપડાયેલું રહે છે. થોડા સમય પહેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા ભાજપના જ ધારાસભ્ય સામે બંડ પોકાર્યો હતો. તત્કાલીન સમયે ચૂંટાયેલા સરપંચો દ્વારા પણ ધારાસભ્ય સામે જાહેરમાં અણગમો વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ થોડા દિવસો પહેલા વલભીપુરમાં શરૂ કરેલા ન.મો. જન સેવા કેન્દ્ર ભાજપના જ આગેવાનોએ ફરિયાદ કરી બંધ કરાવ્યું હતું ત્યાં હવે આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખને હટાવવાની માંગ સાથે વિવાદ ચરમશીમાએ પહોંચ્યો છે.
ભરતનગરની આંગણવાડી જર્જરિત બની:સ્માર્ટ આંગણવાડી ! પાંચ વર્ષમાં જ મકાન જર્જરીત થતા ભ્રષ્ટાચારની બૂ
કોર્પોરેશન દ્વારા સ્માર્ટ આંગણવાડી બનાવી રહ્યા છે પરંતુ પાંચ વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયેલ ભરતનગરની આંગણવાડી જર્જરિત બની ગઈ છે. તે જ દર્શાવે છે કે સ્માર્ટ આંગણવાડી નું બાંધકામ સ્માર્ટ નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 87 સ્માર્ટ આંગણવાડીનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અને આગામી બજેટમાં વધુ 50 આંગણવાડીને સ્માર્ટ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવશે. પરંતુ આંગણવાડીનું બાંધકામ સ્માર્ટ હોતું નથી તેનો દ્રશ્ય દાખલો ભરતનગરની આંગણવાડી છે. ભરતનગરના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે કોર્પોરેશનની શાળાની બાજુમાં આંગણવાડી બનાવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત 2020 માં થયું હતું. ત્યારબાદ લોકાર્પણ પછી આંગણવાડીના કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ આંગણવાડીનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોય તેમ જર્જરિત થઈ ગયું છે. હાલમાં જર્જરીત બનેલી આંગણવાડીનું રીપેરીંગ અને રીનોવેશનનું કામ શરૂ છે.
મંદીમાં આશા ઉજળી:શિપ રિસાયકલીંગમાં અલંગ ફરી વર્લ્ડ લીડર બન્યું
વધુ એક વખત દક્ષિણ એશિયાના દેશોએ વૈશ્વિક શિપ રીસાયકલિંગ ક્ષેત્રે પોતાની સર્વોપરીતા હાંસલ કરી છે. વર્ષ 2025 દરમિયાન ભંગાણાર્થે મોકલવામાં આવેલા કુલ જહાજોના 85 ટકા હિસ્સો દક્ષિણા એશિયાના દેશોના ફાળે આવ્યો છે. જે પૈકી ભારતના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડનો સિંહ ફાળો છે. સમગ્ર વિશ્વના 32 ટકા જહાજો ફક્ત અલંગ શિપ રીસાયકલિંગના ફાળે આવ્યા હતા. NGO શિપબ્રેકિંગ પ્લેટફોર્મ અનુસાર, ગયા વર્ષે બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનના દરિયા કિનારા પર કુલ 214 મોટા ટેન્કર, બલ્ક કેરિયર્સ, ઓફશોર પ્લેટફોર્મ અને કાર્ગો અને પેસેન્જર જહાજોને ભાંગવામાં આવ્યા હતા, જે વિશ્વભરમાં સ્ક્રેપ કરાયેલા વૈશ્વિક કુલ ટનેજના 85% થી વધુ હિસ્સો ધરાવે છે. બાંગ્લાદેશ અને ભારત શિપબ્રેકિંગ માટે શિપિંગ ઉદ્યોગના પસંદગીના સ્થળો છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે 321 જહાજો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 214 દક્ષિણ એશિયામાં સમાપ્ત થયા હતા. તેમાં સૌથી વધુ અલંગમાં 111 શિપ, બાંગ્લાદેશમાં 88 શિપ, તૂર્કિમાં 49 શિપ, પાકિસ્તાનમાં 15 શિપ, યુરોપિયન યુનિયનમાં 14 શિપ અને અન્ય દેશોમાં 44 શિપ ભાંગવામાં આવ્યા હતા. જૂન 2025માં ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના હોંગકોંગ કન્વેન્શન (HKC) પર શિપ રિસાયક્લિંગ અમલમાં આવ્યાના મહિનાઓ પછી આ તારણો આવ્યા છે. બાંગ્લાદેશે કન્વેન્શન હેઠળ 17 શિપબ્રેકિંગ યાર્ડ્સને મંજૂરી આપી છે, પરંતુ પ્લેટફોર્મે નોંધ્યું છે કે આ સુવિધાઓ પર પણ ગંભીર અકસ્માતો ચાલુ રહે છે, જેમાં ઘટનાની જાણ ઘણીવાર અપારદર્શક અથવા સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં કુલ 763 શિપ ભંગાણાર્થે મોકલવામાં આવ્યા હતા અને 2025માં તેની સંખ્યા તદ્દન ઘટી અને 321 શિપ ઉપર પહોંચી ગઇ છે. આમ, વૈશ્વિક ક્ષેત્રે જ જહાજોના જથ્થામાં ઓટ આવી છે. વર્ષ 2022માં 443 શિપ પૈકી દ.એશિયામાં 292, 2023માં 446 પૈકી 325, 2024માં 409 શિપ પૈકી દ.એશિયામાં 214 શિપ ભંગાણાર્થે પહોંચ્યા હતા. ભાસ્કર એક્સપર્ટઅલંગમાં માંગ છે, વૈશ્વિક પુરવઠો ક્ષુલ્લક ઉપલબ્ધશિપ રીસાયકલિંગ ક્ષેત્રે જહાજોના પુરવઠામાં વૈશ્વિક સ્તરે ભયંકર ઓટ આવી છે, ભારતના અલંગમાં સારી માંગ છે પરંતુ નફાકારક જહાજોનો પુરવઠો ક્ષુલ્લક છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમો, કરવેરા સહિતની બાબતોએ અલંગને પાછલા વર્ષોમાં ખુબ ટેકો આપ્યો છે, તેની સકારાત્મક અસર પણ છે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય નિયમો, ધારાધોરણોનું પાલન અલંગમાં થાય છે તેથી નામાંકિત શિપિંગ લાઇનો પોતાના શિપ અલંગમાં મોકલવાનું વધુ ઇચ્છે છે. - રમેશભાઈ મેંદપરા, ઉપ-પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)
સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:શહેરમાં હવાના પ્રદૂષણનો AQI 208, અત્યાર સુધીનો સર્વોચ્ચ
ભાવનગર શહેરની વચ્ચે જીવંત ફેફસા સમાન વિક્ટોરીયા પાર્કનું જંગલ આવેલું હોવા છતા વાયુ પ્રદૂષણ સર્વોચ્ચ સુચકાંકે પહોંચી ગયો હોવાની બાબત ચિંતાજનક છે અને તેના કારણે શહેર-જીલ્લામાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. બીજી તરફ પ્રદૂષણ કાબુમાં રાખવાની જેની જવાબદારી છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ભાવનગર કચેરી તળે બે જીલ્લાના 2000થી વધુ ઔદ્યોગિક એકમો પર નજર રાખવાની-કામગીરી કરવાની જવાબદારી છે તેની પાસે માત્ર 10નો જ સ્ટાફ મોજુદ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારી એન.એમ.કાવરે જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં રોડ-રસ્તા, ડ્રેનેજ કામ વ્યાપકપણે ચાલે છે, અને કામ લાંબા ચાલે છે, તેથી ડ્રેનેજ માટે ખોદકામ થાય, પાઇપલાઇનના કામ થાય, ત્યાર બાદ નવા રોડ બનાવવામાં આવે છે તેથી આ પ્રક્રિયામાં ધૂળ-માટી ભયંકર રીતે ઉડે છે, અને તેના કારણે વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાનું તારણ છે, પરંતુ આવા પ્રકારના કામને ટેમ્પરરી ફેક્ટર ગણી શકાય. શહેર-જીલ્લામાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, તાવના કેસનો ઇન્ડેક્સ વધી રહ્યો છે. ભાવનગર જીલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્ર તળે એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેકશનના 3554 અને શરદી-ઉધરસના 1626 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર શહેરમાં નોંધપાત્ર રીતે છેલ્લા 10 વર્ષમાં વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેરના કામ થયા છે, શહેર મધ્યે વિક્ટોરીયા પાર્કનું જંગલ પણ છે, છતા પ્રદૂષણની માત્રા વધી રહી છે તે ખરેખર ચિંતાનજક બાબત છે. ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે રજકણોની સમસ્યા રહેસામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે તેના કારણે રજકણો હવામાં ભળતા વાર લાગે છે અને નીચલા સ્તરે ધૂળ-માટી ઉડતી અનુભવાય છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ સમસ્યા હોય તેવું એક્યુઆઇના આંકડા પરથી લાગે છે. વાયુ પ્રદૂષણ માટે ઉદ્યોગો, રોડ-રસ્તા, કન્સ્ટ્રકશનના કામોમાં થતી બેદરકારી પણ કારણભૂત ગણી શકાય. - ડો.એમ.એચ. ગાયતોંડે, નિવૃત્ત પર્યાવરણ અધિકારી દિવાળીમાં શહેરનો AQI 154થી207 હતોદિવાળી દરમિયાન ભાવનગર શહેરમાં એક્યુઆઇ 154થી 207ની વચ્ચે રહ્યુ હતુ, શિયાળાની ઋતુ આગળ ધપતા વાતાવરણ શુધ્ધ થવાને બદલે ભાવનગરની સ્થિતિ બગડતી જાય છે. અને AQIનુ સ્તર છેલ્લા 1 સપ્તાહમાં 208 સુધી પહોંચી ગયુ છે. ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું જેઈએતાજેતરના શહેરમાં મિશ્રઋતું જેવા ખરાબ હવામાનથી સૂકી ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. ખાસ કરીને દમ અને હૃદયરોગને સંબંધિત દર્દીઓને શ્વાસને લગતી સમસ્યા ઉદ્દભવતી હોય છે ત્યારે ઘરથી બહાર નીકળવા સમયે માસ્ક પહેરવું જોઈએ. - ડો.ગોપાલસિંહ પરમાર, પૂર્વ સેક્રેટરી, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ભાવનગર
કોરિયન લવ ગેમ : ભારતીય ટીનએજર્સ માટે વધુ એક જીવલેણ રમત
- કે-પોપ અને કે-ડ્રામાનો ક્રેઝ ધરાવતી જેનઝી અને ટીનએજર્સ પેઢીને ફરી આત્મઘાતી બનાવવાની મેલી મુરાદનું આશંકા - આ કોરિયન સ્ટાઈલની એક ઓનલાઈન લવ ટાસ્ક આધારિત ગેમ છે. આ ગેમમાં યૂઝર એક વર્ચ્યુઅલ લવર અથવા તો પાર્ટનર સાથે જોડાય છે. તેઓ કોરિયન સ્ટાઈલમાં વાત કરે છે, રોમેન્ટિક મેસેજ મોકલે છે અને દરરોજનું એક ટાસ્ક આપે છે. ગેમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ટાસ્ક મુશ્કેલ થતું જાય છે. શરૂઆતમાં નાના-મોટા કામ સોંપવામાં આવે છે : આ ગેમ્સ બાળકો અને ટીનએજર્સ વધારે રમતા હોવાથી રોમેન્ટિક વાતોમાં, લાગણીશિલ વાતોમાં ફસાઈ જાય છે.
ડુપ્લિકેટ EWS સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું:મામલતદારના સહી- સિક્કા કરી સર્ટિ. બનાવનાર પકડાયો
જનસેવા કેન્દ્રમાં EWS પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટસમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહિ સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટિ બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે. મોટા વરાછા રહેતા હુસૈન અહમદ બાંગીએ EWSનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુ ભુવા (રહે, દ્વારકાધીશ સોસાયટી કોસાડ)નો સંપર્ક કર્યો હતો. તા.14-11-2025ના રોજ એજન્ટ મારફતે તેમણે ઓનલાઇન અરજી કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ જન સુવિધા કેન્દ્ર પર જઇને જમા કરાવ્યા હતા. જો કે, તેમાં હુસૈનના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ સ્થળ રંગુન હતું તેમજ ગુજરાતમાં કાયમી પુરાવા ન હોવાથી કચેરીએ તેમને પ્રમાણપત્ર ઇશ્યુ કર્યું ન હતું. આ અંગે નિકુંજે તપાસ કરી તો પ્રમાણપત્ર ઇશ્યુ થઇ શકે તેવું જાણવા મળ્યું હતું. જેથી તેણે કોમ્યુટર પર પ્રમાણપત્ર એડિટ કરીને ડુપ્લિકેટ બનાવી આપ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે ફરિયાદ નોંધાવતા ઉત્રાણ પોલીસે નિકુંજની ધરપકડ કરી છે. હુસૈને આ સર્ટિ ટેટમાં પણ રજૂ કર્યું હતું. ઓરિજિનલ લેવા આવતાં ભાંડો ફુટ્યોનિકુંજે ડુપ્લિકેટ પ્રમાણપત્ર બનાવીને હુસૈનને આપ્યું હતું. જેનો ફોટો તેણે ફોનમાં લઇ લીધો હતો. કોપીની જરૂર પડતા હુસૈન કેન્દ્ર પર જઇને ઓરિજિનલ માંગી હતી. જ્યારે ઓપરેટરે ચેક કરતાં આવું કોઇ સર્ટિ એપાયું ન હોવાનું ખુલ્યું હતું. આ અંગે મામલતદાર કે.જે.નાયકે પુછતાછ કરતાં નિકુંજે ગુનો કબુલી લીધો હતો.

34 C