ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગોમતીનંદનનાં નવા નકોર રોડમાં પાણી,ગટરની લાઇન બેસી જતા ફરી ખોદકામ
જૂનાગઢ શહેર વોર્ડ નંબર 6 ની ગોમતીનંદન સોસાયટીમાં 10 દિવસ પૂર્વે જ બનેલા નવા નકોર રોડ પર ગટર- પાણીની લાઇન દબાઇ જતા ફરી ખોદકામ કરાયુ છે. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરના આયોજન વગરના આડેધડ કામથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યુ કે, દિવાળીના સમયે ગોમતીનંદનમાં રોડની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ. બાદમાં મહિના દિવસ સુધી કોઇ કોર્પોરેટર કે કોન્ટ્રાકટર રોડની કામગીરી માટે ડોકાયુ ન હતુ. અનેક રજૂઆત કર્યા બાદ માંડ- માંડ છેલ્લા 10 દિવસ પહેલા રોડ બનીને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટરો દ્વારા કોઇપણ આયોજન વગર આડેધડ રોડ બનાવી નાખતા પાણી અને ગટરની લાઇનો બેસી જતા ફરી નવો નકોર રોડ તોડવામાં આવ્યો છે. આમ, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરોથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે.
ભરતી મેળો યોજાયો:નોકરીવાંચ્છુ ઉમેદવારોને ભરતી મેળો ફળ્યો, 18 યુવાનોને મળી સ્વ-રોજગારી
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ભરતી મેળાના માધ્યમથી કુલ 18 ઉમેદવારોને નોકરીની ઓફર કરવામાં આવી છે. જિલ્લા રોજગાર અધિકારી દીપક મોઢાએ જણાવ્યું હતું કે, નોકરીવાંચ્છુ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે નિયમિતપણે ભરતી મેળા યોજવામાં આવે છે. તા. 9મી ડિસેમ્બરના રોજ યોજાયેલા ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા બાદ 18 ઉમેદવારોને નોકરીદાતા તરફથી ઓફર મળી છે. આ ઉમેદવારોને રાજકોટ સ્થિત ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ જેવી વિવિધ પોસ્ટ પર રોજગારી મળી છે. આ ઉપરાંત, આ ભરતી મેળામાં ભાગ લેનાર અન્ય કંપની દ્વારા પણ અન્ય 15 ઉમેદવારોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી છે. આ રીતે, આયોજિત ભરતી મેળો નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે અત્યંત સફળ સાબિત થયો છે. રોજગાર મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના ભગીરથ કાર્ય માટે ગુજરાતના અને જૂનાગઢના 5 વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત 115 ઉપાસકોનું 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્માનિત સૌ ‘સંસ્કૃતિના સૈનિકો'ના કાર્યને બિરદાવતા જણાવ્યું કે, “આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો નહીં, પરંતુ આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.” તેમજ ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે નાગરિકોએ આગળ આવવું પડશે. જૂનાગઢના ડો. બલરામ ચાવડા (સાહિત્ય અને લેખન ક્ષેત્ર), જયંતીલાલ વઘેરા (સાંસ્કૃતિક પ્રવૃત્તિ ક્ષેત્ર), અલ્તાફ કુરેશી (પર્યાવરણ ક્ષેત્ર), ભાવેશ વાસવેલીઆ (હેરિટેજ સંવર્ધન ક્ષેત્ર), મનન રાવલ (હાસ્ય કલાકાર)ને સન્માનિત કરાયા હતા. તેમજ સંઘવીએ અતુલ્ય વારસાની ટીમને હેરિટેજ વોક, લેખન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી બાળકોથી માંડીને વડીલો સુધી ઐતિહાસિક વારસો પહોંચાડવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. સાથે જ તેમણે ઇતિહાસ અને વિશેષતા સમજાવવા માટે આગામી વર્ષ સુધીમાં ગુજરાતભરમાં 10 હજાર લોકોને તૈયાર કરવા અપીલ કરી હતી.
સમય મળ્યો ખરો:2 વર્ષ પૂર્વે બનેલા આવાસોનાં 2709 મકાનોનો આખરે ડ્રો
અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે બુધવારે થયેલા હોબાળા બાદ ગુરુવારે આજવા રોડ પંડિત દિનદયાળ હોલમાં પીએમ આવાસનાં 2709 મકાનોનો ડ્રો કરાયો હતો. જેમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ડ્રો બાદ લાભાર્થીઓને પોતાનું નામ છે કે કેમ તેની તપાસ કરવામાં પરેશાની થઈ હતી. અકોટા સર સયાજીરાવ નગરગૃહમાં બુધવારે ભાયલી, અટલાદરા, કલાલી, બિલ અને સેવાસીનાં 2709 આવાસો અને દુકાનોનો ડ્રો રાખ્યો હતો. જોકે મંત્રી શહેરમાં હાજર ન હોવાથી કાર્યક્રમ ગુરુવારે મુલતવી કરાતાં લાભાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. બુધવારે મુલતવી કરાયેલો ડ્રો કાર્યક્રમ આજવા રોડ પંડિત દિનદયાળ હોલમાં યોજાયો હતો. જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે આવાસ યોજનાના ડ્રો સંદર્ભે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લાભાર્થીઓને મેસેજ કરાયો હતો. જોકે લોકો પહોંચતાં ત્યારે શાળાનો કાર્યક્રમ જોઈ તેઓ ચોંકી ઊઠ્યાં હતા. 2025 સુધીમાં દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે તેવું લક્ષ્યાંકવિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે 2025 સુધીમાં દરેકને ઘરનું ઘર મળે તે માટે મૂક્યો છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા સરકારે બજેટમાં 1350 કરોડની ફાળવણી કરી છે. બુધવારે આવાસ યોજનાના ડ્રો સંદર્ભે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લાભાર્થીઓને મેસેજ કરાયો હતો. જોકે લોકો પહોંચતાં ત્યારે શાળાનો કાર્યક્રમ જોઈ તેઓ ચોંકી ઊઠ્યાં હતા. સયાજીપુરામાં 10 વર્ષ પહેલાં બનેલાં BSUPનાં 1972 મકાનો ફાળવણી વગર જ જર્જરિત થયાં પાલિકા કહે છે, સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે રિનોવેશન કરીને બારી-બારણા સહિતની સુવિધા ઊભી કરાશે, તે પછી જ ફાળવણી કરાશે. શહેરના સયાજીપુરા, હરણી, છાણી વિસ્તારમાં વર્ષ 2014થી વર્ષ 2021 સુધી નિર્માણ થયેલા બીએસયુપી (બેઝિક સર્વિસીસ ટુ અર્બન પુઅર)ના 2333 મકાનો હજી ખાલી પડ્યાં છે. સયાજીપુરા વિસ્તારમાં બીએસપીનાં 1972 મકાનોના નિર્માણ બાદ તેની ફાળવણી નહીં કરાતાં ખંડેર બન્યાં છે. જેમાં બારી અને બારણાં સહિતની ચીજ-વસ્તુઓ નાખવા અને ફરીથી રિનોવેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જોકે સરકારી ગ્રાન્ટ મળ્યા બાદ 1972 મકાનોનું રિનોવેશન કરાશે અને ત્યારબાદ તેની ફાળવણી કરાશે.
ક્યારે મળશે રમતવીરોને હક?:ખેલમહાકુંભના વિજેતાઓના ખાતામાં એક વર્ષ વિત્યા છતા રોકડ પુરસ્કાર મળ્યા નથી
જૂનાગઢમાં ખેલમહાકુંભ 2024માં અંડર- 14 ટેબલ ટેનિસ રમતમાં ધ્યેય રાદડીયા પ્રથમ, દેવ બદીયાણી દ્વિતીય અને ભર્ગ વીઠલાણી તૃતિય ક્રમાક પ્રાપ્ત કર્યો હતો. સરકાર દ્વારા પ્રથમ ક્રમાકને 5 હજાર, દ્વિતીયને 3 હજાર અને તૃતિયને 2 હજાર રોકડ પુરસ્કાર જાહેર કરેલ છે. જે- તે સમયે આ ખેલાડીઓ પાસેથી બેંક ડિટેઇલ્સ સહિતની તમામ કાગળો પણ લઇ લીધા છે પરંતુ એક વર્ષ વિત્યુ છતા હજુ તે રોકડ રકમ મળી નથી એવુ વિદ્યાર્થીઓના વાલીઓ જણાવી રહ્યા છે. અમે રજૂઆત કરી છે, ડિસે. અંત સુધીમાં આવી જશેખેલમહાકુંભમાં વિજેતાઓને સરકાર દ્વારા ડીબીટી મારફત રોકડ પુરસ્કારની ફાળવણી થાય છે. જો જે-તે ખેલાડીને ખાતા નંબર, બેંક કોડમાં ભૂલ હોય તો પૈસા જમા ન થયા હોય. અમે જૂનાગઢના ખેલાડીની ફરી જાણ કરી છે. ડિસેમ્બર અંત સુધીમાં આવી જશે. - મનીષ ઝીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી- જૂનાગઢ રજૂઆતમાં ગોળ-ગોળ જવાબ મળે જિલ્લા રમત ગમત કચેરી ગાંધીગ્રામ ખાતે આ બાબતે વારંવાર રજૂઆત કરવા જઇએ છીએ. તો ત્યાંથી જવાબ મળે છે કે એ સરકારમાંથી આવે અમને ખબર ન હોય. એ સરકારમાંથી જ તમને મળશે. - નાનજીભાઇ રાદડીયા, વાલી થોડા દિવસોમાં આવી જશેમારા બાળકનો દ્વિતીય નંબર આવ્યો હતો. પરંતુ હજુ સુધી રોકડ રકમ મળી નથી. આ બાબતે રજૂઆત કરીએ તો અપડેટ થાય છે એવો જવાબ મળે છે. આના કારણે ખેલાડીનુ મનોબળ તૂટી જાય છે. - પ્રિતેશ વીઠલાણી, વાલી
સજા ફટકારાઈ:દેડિયાપાડાના ડબકા ગામે મારામારીના ગુનામાં બે આરોપીને 10 વર્ષ કેદની સજા
દેડીયાપાડા ડબકા ગામે વડીલો પાર્જીત જમીનો માટે બે પરિવારો વચ્ચે મારમારી ના કેશમાં બે આરોપીઓ ને કસૂરવાર ઠેરવી બંનેને 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓ તથા ફરીયાદી એક જ કુટુંબના સભ્યો થાય છે. ફરીયાદી તથા આરોપીઓની વડીલો પાર્જીતની ખેતીની જમીન ડાબકા ગામની સીમમાં આવેલી જામીન આંબા ગૃપ ખેડુત સેવા સહકારી મંડળીમાંથી આ કામના આરોપી અર્જુન ભાદીયા વસાવા ના નામે ત્રણ લાખન તથા સર્વે નંબર વાળી જમીન ઉપર આરોપી ઈનેશ અર્જુન વસાવાના નામે ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગાંધીનગર માંથી રૂપિયા ચાર લાખની બેંક લોન લીધી હતી. આ બાબતે તકરાર ચાલી રહી હતી જેમાં 25મી નવેમ્બર 2021ના રોજ આરોપીઓએ એક સંપ થઇ રામસિંગ વસાવા પર હૂમલો કર્યો હતો. ફરીયાદીની પત્ની સાહેદ લત્તાબેન રામસિંગ વસાવા તથા સાળી વેજંન્તાબેન બચાવવા વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી પાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. મારામારીનો આ કેસ નર્મદા જીલ્લાના પ્રીન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.પંચાલની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તફે સરકારી વકીલ વંદના ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે દલીલો રજૂ કરી હતી. નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી ઇનેશ અર્જુન વસાવા અને અર્જુન ભાદીયા વસાવાને 10 વર્ષની કેદની સજા ફટકારી છે.
ગૌરવની ક્ષણ:ભરૂચમાં ભૃગુઋુષિ મંદિર સહિતના સ્થળો શણગારાયા
યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દીપાવલીના સમાવેશને પગલે ભરૂચમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના સર્વોઉત્તમ ઉત્સવ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિશેષ ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા ઐતિહાસિકઅને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોએ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રાચીન અને દર્શનીય ભૃગુ ઋષિ મંદિર ખાતે દીપાવલી પર્વને યુનેસ્કો દરજ્જાની ઉજવણી રૂપે વિશેષ કાર્યક્રમો યોજાયો હતો. મંદિર પરિસરમાં સજાવટ, હજારો દીવા પ્રજ્વલન, આકર્ષક રોશની સજાવટ તથા પરંપરાગત રંગોળીથી દિવ્ય અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. દિવાળીનો યુનેસ્કો સૂચિમાં સમાવેશ એ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતિક છે.
કામગીરીનો પ્રારંભ:ઝઘડિયાથી વાલિયા તેમજ રાજપારડીથી નેત્રંગના માર્ગની કામગીરીનો પ્રારંભ થયો
ભરૂચમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે રસ્તાઓના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના બે મુખ્ય રસ્તાઓ માટે સરકારે રૂા.171 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. ઝઘડિયાથી વાલિયા અને રાજપારડીથી નેત્રંગના માર્ગની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા થી રાજપારડી ને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર બન્યો હતો. જેના પર અવાર નવાર પેચ વર્ક પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ માર્ગ પર ભારદારી વાહનોની વધુ અવરજવર હોવાના કારણે માર્ગ પર ફરી મોટા ખાડા પડી ગયા હતા. જેના કારણે અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી. વારંવાર આ માર્ગના નવીનીકરણ માટે અનેક આનંદોલનો પણ કરવામાં આવ્યા હતા. ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર માંથી મંજૂરી મળતા હવે રાજપારડી થી નેત્રંગ સુધીના માર્ગનું નવીનીકરણ રૂપિયા 110 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સાથે વાલિયા અને ઝઘડિયાને જોડતા માર્ગનું પણ અંદાજે 61 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેને લઈને ગત રોજ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે બંને માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પ્રમુખો, સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાક નુકસાની સહાય:જિલ્લાના 59,642 ખેડૂતોને જ હવે સહાયની ચૂકવણી બાકી
જિલ્લા ખેતિવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતના પાકને નુકસાન થયુ હતુ જેનુ જૂનાગઢ ખેતિવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે પણ હાથ ધરાયો હતો. ત્યારબાદ સર્વેનો રિપોર્ટ સરકારમાં સબમીટ કરાયો હતો. બાદમાં તમામ પ્રકારના પાક માટે સરકારે ખેડૂતોને હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. બાદમાં જે- જે ખેડૂતોને નુકશાન થયુ હોય તેના માટે ફોર્મ ભર્યુ હતુ. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાંથી કુલ 1,64,433 ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી ગુરૂવાર સુધીમાં કુલ 1,00,791 ખેડૂતોને કુલ રૂપિયા 298,34,29,406ની સહાય પેટે ચૂકવણી પણ થઇ ગઇ છે. બાકીના કુલ 59,642 ખેડૂતોને થોડા દિવસોમાં ચૂકવણી થશે એમ જણાવ્યુ છે.
જીમર્સ મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે યોજાયેલા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) દરમિયાન કોલેજના કુલ 56 તબીબોએ બોડી ડોનેશનની પ્રતિજ્ઞા લીધી છે. આ બોડી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કામ લાગશે તેમજ રીસર્ચોને પણ ઉપયોગી થશે. ગુરૂવારે “ડેડ બોડી ડોનેશન : એ ગાઇડ” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ડો. પ્રતિક ત્રિવેદીએ બોડી ડોનેશનનુ વૈજ્ઞાનિક, નૈતિક અને સામાજિક મહત્વ, કાનૂની પ્રક્રિયા સહિત પર સમજાવ્યુ હતુ એમ મેડિકલ કોલેજના ડિન ડો. હણમંત આમણેએ જણાવ્યુ છે.
વેધર રિપોર્ટ:બીજા દિવસે પણ ગિરનાર ઉપર 7.3 ડિગ્રી તાપમાન
છેલ્લા બે દિવસથી શરૂ થયેલું ઠંડીનું મોજુ ગુરુવારે પણ યથાવત રહ્યું હતું. જેની સાથે ઠારનું પણ આક્રમણ થતાં જનજીવનને અસર થઈ હતી. બુધવાર ગીરનાર પર્વત પર 7.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ ગુરુવારની સવારે સામાન્ય ઘટાડા સાથે 7.3 ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે પણ ઠંડીનું મોજુ ફરી વળતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભવનાથમાં પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન રહેતા તળેટી વિસ્તારમાં લોકોની પાંખી અવરજવર રહી હતી. જૂનાગઢમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 77 ટકાએ પહોંચી ગયું હતું. શહેરમાં 48 કલાકથી લઘુતમ તાપમાન 12.3 ડિગ્રી રહેતા ઠંડીએ શહેરીજનોની મુશ્કેલી વધારી હતી.
ભાસ્કર ઈનસાઈડ:ભરૂચના માંચ ગામે ઘરના વાડામાં વાવેતર કરાયેલો 11.20 લાખનો ગાંજો જપ્ત કરાયો
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે નબીપુર નજીક આવેલા માંચ ગામમાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે માંચ ગામના જુના ભીલવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના વાડામાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન, વાડામાંથી 22.400 કિલો ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.આ ગેરકાયદેસર ખેતી પાછળ જીવણ વસાવા નામનો આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. SOGએ તેને ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે. તેની સામે નબીપુર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ગાંજા અને ચરસ સહિતની નશાકારક વસ્તુઓનું વેચાણ કરતાં ઇસમો સામે પોલીસે તવાઇ બોલાવી છે. થોડા દિવસ પહેલાં જ ચાવજ વિસ્તારના એક ફલેટમાંથી ચરસ અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના 3 સાગરિતોની અટકાયત કરવામાં આવી હતી. પોતાના તથા ભજન મંડળીમાટે ગાંજો ઉગાડ્યો હતોજીવણ વસાવા ભજન મંડળી સાથે સંકળાયેલો છે. તે મંડળી સાથે અલગ અલગ જગ્યાએ ભજન ગાવા માટે જાય છે. તે પોતે ગાંજો પીતો હતો અને મંડળીના અન્ય સભ્યોને પણ પીવા માટે આપતો હતો. તેણે વેચવાના ઇરાદે ગાંજાનું વાવેતર કર્યું ન હતું. પોલીસની તપાસમાં ગાંજાના છોડ ચાર મહિના પહેલાં જ ઉગાડવામાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
ખનીજખનન સામે કાર્યવાહી:ભરૂચમાં 2 દિ'થી ફલાઇંગ સ્કવોડના ધામા, 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ જિલ્લામાં બે દિવસ અલગ અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્કોડ દરોડા પાડી 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ ભૂસ્તર વિભાગની ટિમ આકસ્મિક તપાસ કરી બિનઅધિકૃત ખનીજ વહન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. જેમાં 10 ડિસેમ્બરે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત તેમજ જિલ્લા કચેરી ભરૂચ ની તપાસ ટીમ ના સંકલનમાં રહીને ઝઘડિયાના ફૂલવાડીમાં સાદી માટી ખનીજોના બિનઅધિકૃત ખનન અને વહન કરતાં કુલ 1 એક્સીવેટર મશીન તેમજ 6 ટ્રક અને ડમ્પર પકડી કુલ 2.30 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 ડિસેમ્બરે ભરૂચ શુકલતીર્થ નર્મદા નદી પર સાદી રેતી ખનીજોના બિનઅધિકૃત ખનન અને વહન કરતાં 1 એક્સીવેટર મશીન અને 2 ડમ્પર પકડી પાડીને કુલ 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યાર બાદ ભૂસ્તર વિભાગે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ બે દિવસ દરમિયાન ભૂસ્તર વિભાગે આકસ્મિક તપાસ કરીને કુલ 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વનવિભાગનું ચેકીંગ:પાથરડા ગામમાં દીપડાના આતંકને લઈ પાંજરું મુકાયું
ત્રણેક દિવસ પહેલા પાથરડા ગામ કોટવાળીયુ ફળિયામાં રાત્રિના આશરે 10 વાગ્યા સમયે દીપડાએ હુમલો કર્યો હતો. જે દરમિયાન અચાનક વાછડાનો જોર જોર થી અવાજ આવતા ઘર ના બધા સભ્યો આવી જતા દીપડાને ભગાવી વાછડાનો જીવ બચાવ્યો હતો. છતાં પણ ગળા પર થોડી ઇજા થઈ હતી .એ પછી જાનવરના ડોક્ટરોને બોલાવી તેની સારવાર કરવામાં આવી હતી. દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકોએ દીપડાને પકડવા માટે RFOની ઓફ્સિમાં અરજી આપી પાંજરું મુકવાની માગ કરી હતી જેથી વન વિભાગે તાત્કાલિક પાથરડા ગામ કોટવાડિયા ફળિયામાં પાંજરૂ મુક્યું હતું.
તાપમાન:ઉ.ગુ.માં સતત 12 કલાક તાપમાન 20 ડિગ્રીથીનીચે રહેતાં સિઝનની સૌથી ઠંડી રાતનો રેકોર્ડ
ઉત્તર ગુજરાતમાં બુધવાર મોડી સાંજથી ઉત્તર-પૂર્વ દિશાના નીચા સ્તરના ઠંડા પવનનું જોર વધ્યું હતું. પ્રતિ કલાકે સરેરાશ 5 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે બુધવાર રાત્રે 8.30 કલાકે તાપમાન ઘટીને 21.4 ડિગ્રી નોંધાયું હતું. બુધવાર રાત્રે 9.30 થી ગુરૂવાર સવારે 9.30 કલાક સુધી ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. સતત 12 કલાક 20 ડિગ્રીથી નીચા તાપમાનને લઇ બુધવારની રાત અત્યાર સુધીની સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી. આ દરમિયાન આંશિક ઘટાડા સાથે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 12.7 થી 13 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 12.7 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. તેમજ આ તાપમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, હવે ઠંડા પવન નબળાં પડતાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થઇ શકે છે. 18મીથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, આગામી 18 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ભેજવાળા પવન સાથે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બની શકે છે. જો કે, આ દરમિયાન માવઠાંની શક્યતા ના બરાબર રહી શકે છે. વાદળોના કારણે દિવસ-રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર થવાની શક્યતા છે. વહેલી સવારે ધુમ્મસછાયા વાતાવરણ વચ્ચે હળવી ઝાકળવર્ષા થઇ શકે છે.
મહેસાણાના નાગલપુર કોલેજ રોડ સાઈડથી પકવાન હોટલ સુધીના સર્વિસ રોડ ઉપર દુકાનો, કોમ્પલેક્ષ આગળ માર્જીનમાં કરાયેલ ઓટલા, બ્લોક, સીડીના બાંધકામો મહાનગરપાલિકા તંત્ર દ્વારા તોડી પડાયાના અઠવાડિયા પછી પણ અહીંયા હજુ ખુલ્લી કરેલ જગ્યા સમતલ કરવામાં ન આવતા અવરજવર કરતા લોકોને ઠોકર વાગી રહી છે. કેટલીક જગ્યાએ કાટમાળ પડી રહ્યો છે, તો ખુલ્લી જગ્યા છતાં રોડ ઉપર વાહન પાર્ક જોવા મળી રહ્યા છે. મગપરા રોડ સાઈડ પણ દબાણ તોડી પડાયા પછી કેટલીક જગ્યાએ કાટમાળના ઢગલા પડી રહ્યા છે. નાગલપુર કોલેજ તરફના સર્વિસ રોડ સાઈડ દુકાનો આગળના દબાણો દૂર કરતાં ખુલ્લી જગ્યા રોડ લેવલથી નીચાણમાં આવી ગઇ છે. આવામાં સીંમધરનગર, જયદેવ કોમ્પલેક્ષ આગળ હજુ દબાણ કાટમાળના ઠગલા પડી રહ્યા છે. મનપાએ દબાણ તોડ્યા પછી વેપારીઓએ ઘણોખરો કાટમાળ ભાડેથી જેસીબી ટ્રેક્ટર મંગાવીને ઉપડાવી લેવામાં આવ્યો છે પણ હજુ સુધી મનપા તંત્ર દ્વારા આ જગ્યા ખુલ્લી કર્યા પછી સમતલ કરવામાં ન આવતા ઉબડખાબડ હાલતમાં જ છોડી દેવામાં આવી છે જેના કારણે દુકાનોમાં અવરજવર કરતા લોકોને હાલાકીથી પસાર થવુ પડી રહ્યું છે. એક વેપારીએ ચિંતા વ્યકત કરી કે જો ચોમાસા સુધી દુકાનો આગળનો ખુલ્લો ભાગ સમતલ નહી કરાય તો વરસાદી પાણી રોડના બદલે દુકાનો આગળ ભરાઇ રહેશે. જ્યારે મગપરા રોડ ઉપર મંદિર દેરી સહિતના અડચણરૂપ દબાણ તોડી પડાયા પછી ઘણી ખરી જગ્યાએ મબલો પડી રહ્યો છે.મગપરા વિસ્તારના વિક્રમસિંહ ઠાકોરએ કહ્યું કે, મગપરા આગળ દબાણો તોડી પડાયાને દિવસ વિતી ગયા પણ હજુ સુધી કાટમાળ હટાવાયો નથી,જેના લીધે લોકોને ચાલવાની તકલીફ પડે છે. મનપા પેવર બ્લોક ન નાખે ત્યાં સુધી ધૂળનું પ્રદૂષણ રહેશે રોડ સાઇડ ઓટલા, બ્લોકના દબાણ તોડી પડાતા હાલ આ જગ્યાએ ધૂળ છે,જ્યાં લોકોની અને વાહનોની અવરજવર થતા ધૂળ ઉડી રહી છે એટલે હવામાં ધૂળનું પ્રદુષણ આ દબાણ હટાવ્યા પછી પેવર બ્લોક ન લાગતા વધવા લાગ્યું છે.વેપારીઓ પાણી છંટકાવ કરે છે પણ સુકાય એટલે ધૂળ ઉડતી હોય છે.મનપાના અધિકારી ને દબાણો હટાવ્યા પછી જગ્યાનું શુ તે અંગે પૃચ્છા કરતાં પેવર બ્લોક કરીશું તેવુ કહ્યું હતું, પણ ક્યારે તે હજુ નક્કી નથી.
ભાસ્કર એક્સક્લુસિવ:BLO માથે મિસમેચ મતદારોની પુન: ચકાસણીની જવાબદારી
મહેસાણા જિલ્લામાં 100 ટકા મતદારોના ફોર્મ ડિઝિટાઇઝ કરવાનું કામ પૂર્ણ કરાયું છે. જેમાં જે મતદારના નામનો વર્ષ 2002ની યાદી સાથે સેલ્ફ અથવા સંબંધી સાથે મેપિંગ હોય તેવા કુલ 15,96,908 મતદારોનો (89.12 ટકા) સમાવેશ થાય છે. જોકે, એસઆઈઆર સોફ્ટવેર દ્વારા વર્ષ 2002ના મેપિંગમાં મતદારોના નામ, ઉંમર અથવા અટકમાં સહેજ પણ બદલાવ હોય તેવા તમામ મિસમેચ મતદારોને અલગ તારવીને બીએલઓને મોબાઇલ એપ્લિકેશનમાં પુન:ચકાસણી માટે મોકલાતાં ગુરુવારે આખો દિવસ શાળાઓમાં બીએલઓ શિક્ષકો મોબાઇલ એપમાં આખો દિવસ સૂચિત મતદારોની પુન: ચકાસણીની કામગીરીમાં ધંધે લાગ્યા હતા. ઉદાહરણ તરીકે, જો વર્ષ 2002માં મતદારની અટક ઠાકોર હોય અને હાલ દરબાર હોય, કે નામ મહેશ હોય અને હાલ મહેશજી હોય, આવા તમામ મતદારોને સોફ્ટવેર દ્વારા પુન:ચકાસણી માટે મોકલ્યા હતા. ઘણા બીએલઓને 500થી 800 સુધીના મતદારો પુન:ચકાસણી માટે આવેલા હોઇ તેમને આ કવાયત પૂર્ણ કરવામાં સર્વર લોડમાં મંદ પડતા ચારેક કલાક કે તેથી વધુ સમય લાગી ગયો હતો, જેના કારણે શાળાનો સમય પણ પૂરો થઇ ગયો હતો. 11મીની આખરી તારીખે આ કવાયત આવતા જિલ્લાના તમામ 1810 બીએલઓ કર્મચારીઓ ગુરુવારે મિશન મોડમાં કાર્યરત રહ્યા, જોકે ગુરુવાર બપોર પછી ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ યાદી હવે 19મીએ પ્રસિદ્ધ થશેચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ફોર્મ ડિઝિટાઇઝ કરવાની અંતિમતારીખ 11મીથી વધુ ત્રણ દિવસ લંબાવીને આગામી તા. 14મી સુધીકરવામાં આવી છે. આ સાથે જ, મતદારોની ડ્રાફ્ટ યાદી જે તા. 16મીએપ્રસિદ્ધ થવાની હતી, તે તારીખ પણ લંબાવીને હવે તા. 19મીએ પ્રસિદ્ધથશે. જોકે, આ સર્ક્યુલર આવ્યા બાદ બીએલઓ સૂત્રોએ હવે બસ થયું,પૂરું તો કરો કહીને શાળાનો કોર્ષ પણ પૂરો કરવાનો બાકી હોવાનુંજણાવ્યું હતું. શિક્ષિકાએ લગ્નમાં જવાનું ટાળ્યું, પછી સમય લંબાયોએક બીએલઓનું શિક્ષિકાને ગુરુવારે લગ્ન પ્રસંગમાં બહારગામ જવાનું હતું પરંતુ 11મી તારીખે ટાળી દીધું અને શાળાએ પહોંચી નામોની ચકાસણી કરી ત્યાં સાંજે સમય લંબાવ્યાની જાણ થઈ
ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લા પંચાયતનું નવું સાત માળનું ભવન 30 કરોડના ખર્ચે તૈયાર થશે
મહેસાણા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર સાથેના 7 માળના નવીન બિલ્ડીંગ બનાવવા માટેનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ભવન હાલની જર્જરિત બિલ્ડિંગની બાજુમાં, જ્યાં ગાર્ડન અને ખેતીવાડી વિભાગની ઓફિસ આવેલી છે, તે જગ્યા પર બનાવવામાં આવશે. સરકાર દ્વારા આ નવીન બિલ્ડિંગને બે વર્ષમાં ઊભું કરવાની મુદત નક્કી કરવામાં આવી છે. એજન્સી મહાનગરપાલિકાની બાંધકામની મંજૂરી મેળવ્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે, અને નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત વર્ષ 2026 માં કરવામાં આવશે. નવા 7 માળના બિલ્ડિંગમાં જિલ્લા પંચાયતની તમામ શાખાઓ, તમામ વિભાગની ઓફિસો, પદાધિકારીઓની ચેમ્બરો, અને રેકર્ડ રૂમનો સમાવેશ થશે. હાલમાં ખેતીવાડી અને શિક્ષણ જેવી શાખાઓ અન્ય મકાનોમાં કાર્યરત છે, પરંતુ નવું બિલ્ડિંગ બનતા આ તમામ શાખાઓ એક જ જગ્યાએ આવી જશે.
ફરિયાદ નોંધાઈ:NRI મહિલા અને ઓપરેટર સામે ખોટો આધારકાર્ડ બનાવતા ફરિયાદ
નવસારીમાં બિનનિવાસી(એનઆરઆઇ) ભારતીયમહિલા દેશમાં માત્ર 25 દિવસઆવી હતી. બાદમાં તેણીવિદેશ ગયા હોવા છતાં તેઓએઅમુક અજાણ્યા લોકોનીમદદથી ભારતીય આધાર કાર્ડબનાવી દીધો હતો. જેની જાણતેમના ગામલોકોને થતાતેઓએ મામલતદારને ફરિયાદકરી હતી. તપાસ બાદજલાલપોર મામલતદારે ટાઉનપોલીસમાં બિનનિવાસીભારતીય મહિલા અને આધારકાર્ડ બનાવવામાં મદદગારઓપરેટર સામે આઈટી એક્ટઅને બીએનએસની કલમમુજબ કાર્યવાહી કરવા ફરિયાદનોંધાવી હતી. મામલતદાર કચેરીનાઓપરેટરે 19થી 30 જૂનદરમિયાન સર્વિસ પોર્ટલનાયુઝર આઈડી અને પાસવર્ડમેળવીને તેનો ઉપયોગ કરીખોટા દસ્તાવેજોના આધારેમરોલીના કોલાસણા ગામની એનઆરઆઇ મહિલા પ્રતીક્ષાપટેલને આધાર કાર્ડ કાઢીઅપાયો હતો. મૂળ લંડનનાપ્રતીક્ષા પટેલ આધાર કાર્ડમેળવવા એક વર્ષમાં સળંગઅથવા ટુકડે ટુકડે 182 દિવસભારતમાં રોકાવાના નિયમનોભંગ હોવા છતાં, ખોટા અનેબોગસ દસ્તાવેજો બનાવીનેઆધાર કાર્ડ મેળવતા ગામનાએક જાગૃત નાગરિકેમામલતદારને ફરિયાદ કરીહતી. આ ફરિયાદના આધારે તપાસહાથ ધરતા તમામ દસ્તાવેજોનીચકાસણી કરાતા તે ખોટાહોવાનું સામે આવ્યું હતું. જેનેલઇ સમગ્ર મામલે ફરિયાદદાખલ કરી ઘટનાની તલસ્પર્શીતપાસ હાથ ધરાઇ છે. તલાટીના નકારાત્મક રિપોર્ટ છતાંશંકાસ્પદ રીતે અરજી મંજૂર કરાઈમામલતદારે એનઆરઆઇ મહિલા પ્રતીક્ષા પટેલનો આધાર કાર્ડ બનીજવા અંગે સર્કલ ઓફિસરને કોલાસણા ગામ મોકલ્યા હતા. તેઓએ અરજીકરનાર મહિલાના ભાણેજ મયંક મિસ્ત્રી અને ગ્રામજનોના નિવેદન લેતાપ્રતીક્ષા માત્ર 25 દિવસ રોકાઇ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તલાટીએ પણરિપોર્ટ કર્યો કે અરજદાર પ્રતિક્ષા પટેલ વિદેશ છે, જેથી એનેક્ષ્ચર-01નેગેટિવ ભર્યો હતો અને દસ્તાવેજ અપલોડમાં કરાયેલી અરજીમાં NRIનેબદલે ભારતીય લખેલું, તલાટીના નેગેટિવ એનેક્ષ્ચર-01ને બદલે અધૂરીવિગતવાળું માર્જિનમાં કપાયેલું કોઈ ફોર્મ અપલોડ કર્યું હતું. ઇસ્યૂ કરનારઓથોરિટીનું નામ પાસપોર્ટ ઓથોરિટી નગરપાલિકા લખ્યું અને પાનકાર્ડમાં અને અરજીના ફોર્મમાં જુદી જુદી સહી હતી. આધાર કાર્ડનીપ્રક્રિયામાં જલાલપોર તાલુકા મામલતદાર કચેરીમાં અજાણ્યા ઓપરેટરદ્વારા લોગ ઇન કરી વેરિફિકેશન રિપોર્ટ સાંજે 3.43 કલાકે અને 3.44કલાકે એપ્રુવ પણ કરાયો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિત છ રાજ્યોમાં SIRની ડેડલાઇન લંબાવવામાં આવી હતી. બીજા મોટા સમાચાર ચાંદીએ સતત બીજા દિવસે રેકોર્ડ બનાવ્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. ગુજરાત સહિત 5 રાજ્ય, 1 UTમાં SIRની ડેડલાઇન વધી:ચૂંટણીપંચનો મોટો નિર્ણય; 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 19 ડિસેમ્બરે અપડેટેડ મતદારયાદી જાહેર થશે ચૂંટણી પંચે ગુરુવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર ચકાસણી માટેની અંતિમ તારીખ લંબાવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ઉત્તરપ્રદેશમાં 26 ડિસેમ્બર અને ગુજરાત અને તમિલનાડુમાં 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. અગાઉ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મમતાએ કહ્યું- અમિત શાહ ખતરનાક, તે દુર્યોદન-દુશાસન જેવા:મહિલાઓને કહ્યું- SIRમાં નામ કપાય તો તમારી પાસે રસોઈ બનાવવાના વાસણ છે, તેનાથી લડો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. મમતાએ ગુરુવારે કૃષ્ણાનગરની રેલીમાં કહ્યું કે શાહની આંખોમાં દહેશત છે. તેમની એક આંખમાં તમને દુર્યોધન તો બીજી આંખમાં દુશાસન દેખાશે. મમતાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR એટલે કે મતદાર ચકાસણી)ને લઈને મહિલાઓને કહ્યું- તેઓ (કેન્દ્ર સરકાર) SIRના નામે માતાઓ-બહેનોના અધિકાર છીનવી લેશે. તેઓ ચૂંટણી દરમિયાન દિલ્હીથી પોલીસ બોલાવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઇન્ડિગોની મોટી જાહેરાત, હેરાન થયેલા મુસાફરોને વળતર અપાશે:જેમની ફ્લાઇટ્સ રદ થઈ તેમને રૂ.10,000 મળશે, એક્સ્ટ્રા રૂ.10,000નું ટ્રાવેલ વાઉચર પણ આપશે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થઈ, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું. એના પછી એરલાઇન વિરુદ્ધ DGCAએ કડક પગલાં લીધાં છે. હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું હતું કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. બાંગ્લાદેશમાં તખ્તાપલટના દોઢ વર્ષ પછી ચૂંટણી:12 ફેબ્રુઆરીએ મતદાન; શું શેખ હસીનાની પાર્ટી ચૂંટણી લડી શકશે? બાંગ્લાદેશમાં આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાશે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિરુદ્દીને ગુરુવારે સાંજે તેની જાહેરાત કરી. આ ચૂંટણી શેખ હસીનાના બળવા પછી દોઢ વર્ષ બાદ યોજાઈ રહી છે. બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટ 2024ના રોજ થયેલા બળવા પછી, પૂર્વ પીએમ શેખ હસીના દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી ત્યાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચાલી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ચાંદી ₹1,500 વધીને ₹1.87 લાખ પ્રતિ કિલો ઓલટાઇમ હાઈ પર:આ વર્ષે ચાંદીની કિંમત ₹1.01 લાખ વધી; સોનું ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું ચાંદી આજે એટલે કે 11 ડિસેમ્બરે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ચાંદી 1,500 રૂપિયા વધીને 1,86,988 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ પહેલા ગઈકાલે તે 1,85,488 રૂપિયા પર હતી. આ વર્ષે તેની કિંમત 1,00,971 રૂપિયા વધી ચૂકી છે. જ્યારે સોનું 747 રૂપિયા વધીને 1,28,535 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ પહેલા તે 1,27,788 રૂપિયા પર હતું. સોનાએ 17 ઓક્ટોબરે 1,30,874 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. NRIs ગુજરાતમાં આવી બનાવી રહ્યાં છે ગેરકાયદે આધાર કાર્ડ!:લંડન રહેતી મહિલા વિરુદ્ધ નવસારીમાં FIR; જાણો કેવી રીતે માત્ર 25 દિવસમાં બની ગયું આધાર કાર્ડ? શું છે નિયમ? જલાલપોર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃણાલદાન ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કોલાસણા ગામની લંડનમાં રહેતી NRI મહિલાએ ખોટા પુરાવા રજૂ કરીને ગેરકાયદે રીતે આધાર કાર્ડ મેળવ્યા અંગે છે. આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના 'Service Plus Portal'ના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવાયું છે. હાલમાં પોલીસે NRI મહિલા અને ઓપરેટર પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. PSI અને LRDની 13,591 પોસ્ટની જાન્યુઆરીમાં પરીક્ષા:ત્રીજા સપ્તાહથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની સંભાવના, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ બંને કેડરની શારીરિક કસોટી (PET/PST) સંભવિત રીતે જાન્યુઆરી–2026ના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોને શારીરિક કસોટી સંબંધિત તારીખો, સ્થળ તથા અન્ય માર્ગદર્શિકા અંગેની વિગતવાર સૂચના ભરતી બોર્ડ દ્વારા અધિકૃત રીતે વહેલી તકે જાહેર કરવામાં આવશે. લાખો યુવાનો આ ભરતી માટે તૈયારી કરી રહ્યા હોવાથી આ નોટિફિકેશન મોટી રાહતરૂપ સાબિત થઈ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિત તૈયારી સાથે GPRBની અધિકૃત વેબસાઇટ પર અપડેટ્સ ચેક કરતા રહે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ગોવા અગ્નિકાંડ; થાઇલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ:હાથકડી પહેરેલી તસવીર સામે આવી, ઘટના સમયે ટિકિટ બુક કરીને થાઇલેન્ડ ભાગી ગયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.વિદેશઃ અમેરિકી સંસદમાં મોદી-પુતિનની કારવાળી તસવીર:ડેમોક્રેટ સાંસદ બોલ્યા- આ ફોટો હજાર શબ્દો બરાબર છે; કહ્યું- ટ્રમ્પની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ રાજસ્થાનમાં ખેડૂતો ભડક્યા, ધારાસભ્યનું માથું ફોડી નાખ્યું:ઇન્ટરનેટ બંધ, 14 વાહન ફૂંકી માર્યાં, લાઠીચાર્જ-પથ્થરમારો; હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી સ્થાપવાનો વિરોધ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ રશિયાની જમીન પચાવી પાડવાના પ્રયાસમાં ચીન:બોર્ડર પાસેની જમીન લીઝ પર લઈ રહ્યું છે; 150 વર્ષ પહેલા મજબૂરીમાં છોડી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ધર્મઃ વ્યક્તિનો ધંધો ડૂબી ગયો, સફળ મિત્રએ આપી શીખ!:વાર્તા: જ્યારે માણસ શીખવાનું બંધ કરે છે, ત્યારે આગળ વધવાની ક્ષમતા પણ ગુમાવી દે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ક્રિકેટઃ રિવાબાએ રવીન્દ્ર જાડેજાના વખાણ કર્યા:કહ્યું- મારા પતિએ ક્યારેય વ્યસન કર્યું નથી, બાકીના ખેલાડીઓ વ્યસનમાં ફસાઈ જાય છે (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે મહારાષ્ટ્રમાં એક મહિલાએ 6 બાળકો વેચ્યા મહારાષ્ટ્રના નાસિકમાં, 45 વર્ષીય બચુબાઈ હાંડોગે ગરીબીને કારણે પોતાના બાળકોને વેચી રહી હતી. તેમણે 14 બાળકોને જન્મ આપ્યો હતો અને તેમાંથી 6 બાળકોને વેચી દીધા હતા. પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલાની તપાસ કરી રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ1. Editor's View: પાકિસ્તાનના 12 ટુકડા થશે!:સેનાને સર્વેસર્વા બનાવવા ખતરનાક પ્લાન, ભાગલાની વાતથી વિદ્રોહ, મુનીર-શાહબાઝની મેલી મુરાદની ઇનસાઇડ સ્ટોરી 2. 'ભીખ માગજે, પણ ભણવાનું પૂરું કરજે....':'અમેરિકામાં ભટકતો હતો ને અચાનક જ સ્વામિનારાયણ ભગવાન મદદે આવ્યા', પટેલ યુવકની 500થી 12 મિલિયન ડૉલર સુધીની સફર 3. આજનું એક્સપ્લેનર:મોદી સરકાર માંસાહારી અમેરિકન ગાયોના પ્રોડક્ટ ખરીદવા તૈયાર? ટ્રમ્પના દૂત ભારતની નવી ઓફરથી આટલા ખુશ કેમ છે? 4. 'IPOમાં જ કમાઈ લેવાની માનસિકતા દૂર કરવી પડશે':માર્કેટ એક્સપર્ટે રોકાણકારોને ચેતવ્યા; કહ્યું, નુકસાન બુક કરતાં પણ શીખવું જોઈએ, ઊંચું વેલ્યુએશન હોય તો ધ્યાન રાખજો 5. સેક્સવર્કરે કહ્યું, માતા-પિતાના દસ્તાવેજો ક્યાંથી લાવીએ?:SIR પછી તેઓ અમને બાંગ્લાદેશી કહેશે ને ભગાડી દેશે, ચૂંટણીપંચ જણાવે કે અમારે શું કરવું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે; કર્ક જાતકોને અવરોધો દૂર થતાં કાર્ય નિર્વિઘ્ને પૂરાં થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને વિજાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી જોડે છે ત્યારે નદીની બંને બાજુ પટમાં સરકારી લીઝો અને બ્લોક આવેલા છે. રામપુરાકોટ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે નદીના પટમાં જ્યાં રેડ પાડી છે ત્યાં કોઈ બ્લોક કે લીઝ નથી પરંતુ સામેની બાજુ સાબરકાંઠાની હદમાં જે બ્લોક આવેલા છે તે પૈકીના કેટલાક લોકોએ મહેસાણાની હદમાં ખોદકામ કર્યું હોવાનું ખાણ ખનીજ વિભાગ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિજાપુરના રામપુર કોટ ગામની સીમમાં આવેલ સાબરમતી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ઝડપી પાડ્યું હતું ઘટના સ્થળેથી એક જેસીબી મશીન અને ડમ્પર સહિત 2. 60 કરોડનો મુદ્દામાલ કબજે કરી નદીમાં થયેલ ખોદકામની માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભાસ્કર ફોલોઅપ:341 બાળ લગ્ન મામલે તપાસ પછી પિતા-સસરા સામે ફરિયાદ થઈ શકે છે
મહેસાણા જિલ્લામાં 13થી 17 વર્ષની 341 સગર્ભા કિશોરીઓ હોવાનો આરોગ્ય તંત્ર દ્વારા આંકડા સાથે ખુલાશો કર્યા બાદ બાળસુરક્ષા એકમ હરકતમાં આવ્યું છે. આરોગ્ય તંત્ર પાસે તમામના નામ સરનામા સહિતના ડેટા માંગવામાં આવ્યા છે. આ ડેટા આવી ગયા બાદ જે તે સગીરાના માતા પિતા કે સાસુ સસરા પાસેથી તેના લગ્નના પુરાવા માંગવામાં આવશે અને 18 વર્ષથી નીચેની આ સગીરાની જો લગ્ન વિધિ થઈ હશે તો તેને બાળ લગ્ન ગણીને તેના પિતા અને સસરા સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરાશે. મહેસાણા જિલ્લામાં 13થી 17 વર્ષની 341 સગર્ભા માતાઓ હોવાનું બહાર આવ્યા બાદ મહેસાણા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે આરોગ્ય તંત્રની ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તેની સંપૂર્ણ બ્લડ પ્રોફાઇલની તપાસ કરવામાં આવે છે. જેમાં તેની વજન ઊંચાઈ અને બીએમઆઈ તેમજ કેટલા ટકા હિમોગ્લોબીન છે તે જાણ્યા બાદ ઓછું હિમોગ્લોબીન ધરાવતી માતાઓને તેનું પ્રમાણ વધારવા માટે સીએસઆર ફંડ અંતર્ગત એક પોષણ કીટ પણ આપવામાં આવે છે અને જે તે સગર્ભા માતાના જોખમના કારણ મુજબ તેનું નિદાન અને સારવાર તેમજ મોટેભાગે તેની સિવિલ હોસ્પિટલમાં જ ડિલેવરી થાય તેવા પ્રયત્નો પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે. સાથે તમામ રાજ્ય સરકારની નમોશ્રી સહિતની યોજનાઓનો આ સગર્ભા લાભાર્થીઓને લાભ મળે તેવી પણ દરેક તાલુકામાં કાળજી રાખવામાં આવે છે.
પાટણના સરસ્વતી તાલુકામાં ધારુસણ ગામમાં બે મિત્રો વચ્ચે સામાન્ય ખીજવવાના મામલે થયેલ બોલાચાલીમાં આરોપી મિત્ર ઘાતક બની બીજા દિવસે સૂમસામ સીમમાં બોલાવી છરી વડે ગળાના ભાગે ઘા કરી કરપીણ હત્યાનો ચકચારી કેસનો સાત વર્ષે પાટણ કોર્ટ દ્વારા ચુકાદો આપતા સમગ્ર કેસ તાજો બન્યો હતો. જેમાં હત્યા સમયે ઘટના સ્થળે રહેલ કિશોર વયનો મિત્ર સાક્ષી થતા કોર્ટે દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી હતી. 7 વર્ષ અગાઉ બનેલી ઘટના સાત વર્ષ અગાઉ સામાન્ય ખીજવવાની વાત લોહિયાળ હત્યામાં પરિણામી હતીસાત વર્ષ પહેલાં,22 સપ્ટે. 2018ના ધારૂસણ ગામના યુવક ધવલ જોષીને મિત્ર આરોપી સચિન પ્રજાપતિ રહે ચંદ્રાવતી સિદ્ધપુર હાલ રહે અમદાવાદ વાળાએ ‘ધવલ ઢીંગી’ કહીં ખીજવતાં બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઠપકાનો બદલો લેવા બીજા જ દિવસે સચિન ધવલને ગામની સીમમાં લઈ ગયો. ત્યાં ક્રૂરતાની તમામ હદ વટાવીને તેણે ધવલના ગળા, છાતી, કમર અને બરડાના ભાગે છથી સાત છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. આ ભયાનક હત્યા કર્યા બાદ આરોપીએ તેના મિત્ર મહેન્દ્ર જોષીને ધમકી આપી ઘટનાસ્થળેથી ભગાડી દીધો હતો, જેથી કોઈ સાક્ષી ન રહે.આરોપી સચિને પુરાવાનો નાશ કરવા માટે લાશને ખાડો ખોદી દાટી દીધી હતી. પોલીસે કેવી રીતે કેસ સોલ્વ કર્યો લાશને બે વખત દાટવાની હરકત અને મિત્રની હિંમતથી ભેદ ઉકેલાયો આરોપી સચિને પુરાવાનો નાશ કરવા માટે લાશને પ્રથમ એક જગ્યાએ ખાડો ખોદી દાટી દીધી હતી, પરંતુ ડરના કારણે ફરીથી બહાર કાઢી બીજી જગ્યાએ દફનાવી દીધી હતી. જોકે, મૃતકના મિત્ર મહેન્દ્ર જોષીએ હિંમત કરીને સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મહેન્દ્રની મદદથી લાશ જ્યાં દાટી હતી તે સ્થળ શોધી કાઢ્યું. આ સિવાય, પોલીસે આરોપીઓ અને મૃતકના મિત્રોના મોબાઇલ કોલ ડિટેલ્સ એકત્ર કર્યા, જેણે ગુનાહિત કાવતરાની કડીઓ જોડી આરોપીને પકડી પાડ્યો હતો. કોર્ટમાં કેસ કેવી રીતે પુરવાર થયો આઈ વિટનેશની ભરોસાપાત્ર જુબાનીગુનાના પુરાવામાં મુખ્ય આધાર બનીપાટણની કોર્ટમાં સરકારી વકીલ જે.ડી. ઠક્કરે મજબૂતદલીલો કરી કે, મૃતકનો મિત્ર મહેન્દ્ર (ફરિયાદી) એકમાત્રનજરે જોનાર સાક્ષી હતો. કોર્ટે તેમની એ દલીલ સ્વીકારીકે ભલે સાક્ષી કિશોર વયનો હોય, જો તેની જુબાનીભરોસાપાત્ર હોય તો તે આધારભૂત ગણી શકાય. આજુબાનીથી હત્યામાં વપરાયેલી છરીની ઓળખ પણ થઈ.વધુમાં, FSL રિપોર્ટ અને PM કરનાર ડોક્ટરનીજુબાનીથી પુરવાર થયું કે શરીરે થયેલ ઈજાઓ જ મૃત્યુનુંમુખ્ય કારણ હતી, જેણે આરોપીના ગુનાને વૈજ્ઞાનિક રીતેસાબિત કર્યો. આ તમામ પુરાવાઓના આધારે કોર્ટેઆરોપીને સજા ફટકારી હતી.
લોક માંગ:વ્યારા નગર કેસરી ડો. શાહની પ્રતિમા સ્થાપવાની માગ
વ્યારા શહેરના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓના મુખ્ય સ્તંભ રૂપે ઓળખાતા નગર કેસરી ડો. મહેન્દ્રભાઈ શાહની પૂર્ણ કદની પ્રતિમા શહેરના હૃદયસ્થળે મૂકવા લાયન હાર્ટ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ એ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે. વ્યારા સહિત જિલ્લામાં સેવાકીય કામ કરતું લાયન હાર્ટ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઈ જાદવ અને સભ્યો દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને કારોબારી સમિતિને પાઠવાયેલા પ્રસ્તાવમાં જણાવાયું છે કે વ્યારા નગરના છેલ્લા પાંચ દાયકાના વિકાસમાં ડો. શાહનું યોગદાન અદભૂત અને ઐતિહાસિક રહ્યું છે, જેને નગરજનો સન્માનિત કરવા માંગે છે. લાયન હાર્ટ ગ્રુપે જુના બસ સ્ટેન્ડ–સોનાલી રેસ્ટોરન્ટ સામે પ્રતિમા સ્થાપિત કરવું તથા જુના બસ સ્ટેન્ડથી સુરતી લોજ તરફના મુખ્ય માર્ગને “નગર કેસરી ડો. મહેન્દ્રભાઈ શાહ માર્ગ” નામકરણ કરવાની માંગણી કરી છે. “વ્યારા નગરને સ્વચ્છ, સુંદર અને હરીયાળું શહેર બનાવવાના ડો. શાહના પ્રયત્નો સવર્ણ અક્ષરે લખવા લાયક છે. શહેરના મધ્યમાં તેમની પ્રતિમા યુવા પેઢીને પ્રેરણા આપશે.” વ્યારા શહેરના વિકાસના શિલ્પકારને શિલ્પરૂપે સન્માન આપવા નાગરિકોમાં સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. વ્યારામાં નગરમાં તેમનું યોગદાન1974 થી સતત 50 વર્ષ સુધી જનકજૂથ અને વિવિધ સંસ્થાઓના નેતૃત્વ વડે ડો. મહેન્દ્રભાઈ શાહે વ્યારામાં અનેક પ્રોજેક્ટો સાકાર કર્યા. શિક્ષણ ક્ષેત્રે કન્યા વિદ્યાલય, પ્રાથમિક વિભાગની સ્થાપનામાં તેમનું યોગદાન અગ્રણિ રહ્યું. સ્વાસ્થ્ય ક્ષેત્રે 1995 નું શ્રી ચંદ્રકાંત વજાભાઈ શાહ આંખની હોસ્પિટલ અને 1974 માં શરૂ થયેલી જનક સ્મારક હોસ્પિટલ આજે તાપી જિલ્લાના લોકો માટે દૈનિક જીવનરક્ષક બની છે. આધુનિક સેવાઓથી સજ્જ આ હોસ્પિટલથી નાગરિકોને મોટા શહેરોમાં સારવાર માટે નીકળવું ન પડે તેવું સ્વપ્ન તેમણે સાકાર કર્યું. આ ઉપરાંત પણ તેમણે અનેક લોકહિતના કાર્યો કર્યા છે.
કામગીરી:ધારપુર ગામમાં દોઢ કિલોમીટરની અધૂરી ગટરલાઇન નાખવાનું શરૂ
ધારપુર ગામમાં અધૂરી રહી ગયેલી એકથી દોઢ કિલોમીટરની ભૂગર્ભ ગટર લાઈન માટે રૂ.3 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતા કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ તાલુકાના ધારપુર ગામના ઇન્દ્રીરાનગરથી ઉમિયાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક થી દોઢ કિલોમીટરની ભૂગર્ભ ગટર લાઇનનું કામ અધૂરું હતું. જેને કારણે સ્થાનીકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.ગામ લોકોએ આ બાબતે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજૂઆત કરી હતી. ગ્રામજનોની માગણીને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવાયા હતા અને 15 ટકા વિવેકાધીન ગ્રાન્ટમાંથી આશરે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી. ગ્રાન્ટ મળ્યા બાદ તરત જ ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરીનો શુભારંભ કરાયો છે. ચેરમેન નરેશભાઈ પરમારે પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેનાથી સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને હવે ગામની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
પાટણ નગરપાલિકાએ વધતા શહેરી વિસ્તારો અને સોસાયટીઓમાં કચરાના ધીમા નિકાલની સમસ્યા દૂર કરવા સ્વચ્છતા વ્યવસ્થાને સુપરફાસ્ટ બનાવવા માટે છોટા હાથીને ડમ્પિંગ સાઇડ સુધી લંબાવવાના બદલે અંતર ઘટાડી શહેરમાં રહેણાક વિસ્તારોમાં કચરો એકત્ર કરવા વધુ ફેરા થઈ શકે માટે કોમ્પિંગ મશીન આધારિત નવું મોડેલ સોમવારથી શરૂ કરાશે, જેનાથી ડોર-ટુ-ડોર કલેક્શન કરતા વાહનોના ફેરાની સંખ્યા 3 ગણી વધી જશે. અત્યાર સુધી ડોર-ટુ-ડોર કચરો એકત્રિત વાહનોને કચરો ઠાલવવા માટે લાંબી ડમ્પિંગ સાઇટ સુધી જવું પડતું હતું, જેના કારણે આખા દિવસમાં માંડ 3 ફેરા થઈ શકતા હતા.પરંતુ હવે પાલિકાએ મુખ્ય નગરપાલિકા બિલ્ડિંગની પાછળ રેપ ઉપર જ કોમ્પિંગ મશીન ગોઠવી દીધું છે. છોટા હાથી હવે કચરો અહીંયા જ ઠાલવી શકશે. સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલના જણાવ્યા મુજબ, હવે એક છોટા હાથી દિવસમાં 7થી 8 ફેરા કરી શકશે. એટલે કે કામની ઝડપ સીધી ત્રણ ગણી વધી જશે. આ રીતે કામ કરશે નવી સિસ્ટમસ્ટેપ-1 : કલેક્શન : છોટા હાથી સોસાયટીમાંથી કચરો એકત્ર કરીને સીધા નગરપાલિકાના રેપ પર આવશે. સ્ટેપ-2 : કમ્પ્રેસિંગ : રેપ પર રહેલું શક્તિશાળી કોમ્પિંગ મશીન એકસાથે 20થી વધુ છોટા હાથીનો કચરો પ્રેશરાઇઝ કરીને સંકુચિત કરશે. સ્ટેપ-3 : ડમ્પિંગ : સંકુચિત કચરાને મોટી ગાડીઓ દ્વારા ડમ્પિંગ સાઇટ સુધી લઈ જવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને આગામી રાજકીય રણનીતિ પર ચર્ચા કરવા એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના બનવા જઈ રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) આજે પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર નવસારીની મુલાકાત લેશે. નવસારીના ટાઉનહોલમાં સવારે 10 કલાકે યોજાનારી ક્લસ્ટર બેઠકમાં જગદીશ વિશ્વકર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. જિલ્લાની આ મહત્વપૂર્ણ રાજકીય બેઠક ક્લસ્ટરના સંગઠનાત્મક મુદ્દાઓ, વિકાસ કાર્યોની સમીક્ષા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાના હેતુથી યોજવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખનું માર્ગદર્શન સ્થાનિક નેતૃત્વ અને કાર્યકરો માટે અત્યંત મહત્વનું સાબિત થશે. પ્રદેશ પ્રમુખના આવવાથી મહાનગરપાલિકા સહિતની આવનારી ચૂંટણીમાં દાવેદારી કરવા ટિકીટવાંચ્છુઓ પોતાની છબી સારી બતાવવા પડાપડી કરશો તો બેઠકમાં ખાસ SIRનો મુદ્દો મહત્વનો બની રહે તેવું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર નવસારી આવવાના હોય વિદ્યાકુંજ સ્કૂલથી વિરાંજલી માર્ગ અને ટાઉન હોલ પર ભાજપના ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. આમ, જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાશે તેવું જણાઇ રહ્યું છે.
ખાદ્ય સુરક્ષા માટે કાર્યવાહી:ચીખલીના 6 ગોળ ઉત્પાદન એકમમાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
શિયાળાની સિઝનમાં ગોળના વધતા ઉત્પાદન અને વપરાશને ધ્યાનમાં લેતા ચીખલી તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં ગોળ ઉત્પાદન કરતા એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત રાખવા માટે કરવામાં આવેલ આ તપાસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 મુજબ અમલમાં લેવામાં આવી હતી. ચીખલી તાલુકાના કુલ 6 ગોળ ઉત્પાદન એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી કુલ 10 નમૂનાઓ સંગ્રહિત કરીને અનુસંધાન લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તમામ 6 પેઢીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006ની શિડ્યૂલ–4 હેઠળની જરૂરી સુચનાઓ અને સ્વચ્છતા સંબંધિત જોગવાઇઓનું પાલન કરવા નોટિસ પાઠવવામાં આવી છે. જેમ ગોળના ઉત્પાદન દરમિયાન સ્વચ્છતા,ગુણવત્તા અને માનવ આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે તે હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય તંત્ર દ્વારા આદેશ:કુમળા બાળકોને ડામ આપવાની કૂપ્રથા નાથવા માટે કડક કાર્યવાહીનો આદેશ
દિવ્ય ભાસ્કરનાના અહેવાલમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં કુમળી વયના બાળકોને ભૂવા–તાંત્રિકો દ્વારા ‘ડામ’ આપવાની પીડાદાયી અને અમાનવીય પ્રવૃતિ અંગે પ્રકાશ પાડવામાં આવ્યું હતું. આ ચોંકાવનારી બાબતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સુઓ–મોટો કેસ દાખલ કરી તાપી જિલ્લા આરોગ્ય તંત્રને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. આદેશના અનુસંધાને તાપી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ સરકારી હોસ્પિટલ, CHC, PHC, UHC અને તાલુકા આરોગ્ય કચેરીઓને તાત્કાલિક અમલવારી કરવા સ્પષ્ટ સુચનાઓ પાઠવવામાં આવી છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે “કુમળી વયના બાળકો પર ડામ આપવાની અમાનવીય પ્રથા બાળક સુરક્ષા હક્કોની ગંભીર ઉલ્લંઘના છે અને આવી પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે બાળકોના Right to Survival ના રક્ષણ માટે વૈજ્ઞાનિક આધારિત સારવાર સિવાય કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાસભર પ્રવૃત્તિ સહન કરાશે નહીં.
તપાસ:શહેર DEOએ વધુ ફી લેવા બાબતેસેન્ટ ઝેવિયર્સ પાસેથી ખુલાસો માગ્યો
અમદાવાદ શહેર ડિઈઓ કચેરીએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફી અંગેનો ખૂલાસો માંગ્યો છે. બે દિવસની અંદર આ અંગેનો ખૂલાસો નહી કરાય તો દંડનાત્મક કાર્યવાહી કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શહેર ડીઈઓ કચેરી પાસેથી મળતી માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25ના વર્ષમાં ધોરણ 1થી 8માં 22,500ની વાર્ષિક ફી મંજૂર કરવામાં આવી હતી. જેની સામે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી હતી, આ અંગેની કોઈ સ્પષ્ટતા પણ કરાઈ નથી જેના અનુસંધાને થોડાક દિવસો પહેલા શહેર ડિઈઓ કચેરી તરફથી આ અંગેનો રૂબરૂમાં ઉપસ્થિત રહીને સાત દિવસમાં ખૂલાસો રજૂ કરવા માટે જણાવાયુ હતુ, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ ન અપાતા હવે કચેરી દ્વારા માત્ર 2 દિવસનો આપવામાં આવ્યો છે.
153 આરોપીઓની ધરપકડ:મહારાષ્ટ્ર સરકારનું ગેરકાયદે રેતી ખનનના માફિયા પર કડક વલણ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફેલાયેલા ગેરકાયદે રેતી ખનન અને પરિવહન પર કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના (શિંદે)ના સભ્ય કૃપાલ તુમાને દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં રાજ્ય મંત્રી યોગેશ કદમે આ માહિતી આપી.મંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે 31 ઓક્ટોબર સુધી કુલ 5,260 ગેરકાયદે ખનનની ઘટનાઓ બહાર આવી છે, અને 994 ગુનાકેસો માઇનર મિનરલ્સ કાયદા હેઠળ નોંધાયા, જેમાં 153 આરોપીઓને ધરપકડ કરવામાં આવી. સાથે જ એમપીડીએ અધિનિયમ હેઠળ 9 કેસો નોંધાયા. આ તમામ કેસોમાંથી કુલ રૂપિયા 50.87 કરોડનો દંડ ગુનેગારો પાસેથી વસૂલાયો છે. સભ્ય પ્રવીણ દરેકર, હેમંત પાટીલ, મનીષા કાયંદે અને નિરંજન દાવખરે સહિતના સભ્યોએ પૂરક પ્રશ્નોમાં રેતી માફિયાથી રાજ્યને થતા મોટા આવકના નુકસાન મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, માફિયા દ્વારા ગેરકાયદે ખનનથી રાજ્યના ખજાનાને સતત ખોટ પહોંચે છે.મંત્રીએ માહિતી આપી કે, 8 એપ્રિલથી લાગુ થયેલી નવી રેતી નીતિ પ્રમાણે રેતીનું વ્યાપાર કડક નિયંત્રણ હેઠળ છે. નદીનાં કિનારા અને ખાબોચિયાં પરથી ખનન માટે પર્યાવરણ મંજૂરી મેળવી રેતીના લોટ્સની ખુલ્લી હરાજી કરવામાં આવે છે. હાલ સુધી 223 લોટ્સની હરાજીથી રૂપિયા 203 કરોડની આવક થઈ છે, જ્યારે 530 લોટ્સની હરાજીની પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો પ્રયાસ છે. ઓનલાઈન હરાજી પદ્ધતિ અપનાવવાથી પારદર્શિતા વધી છે. કૃત્રિમ રેતીને પ્રોત્સાહન અપાય છેસરકાર કુદરતી રેતી પરનો બોજ ઓછો કરવા માટે કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ઘર બાંધકામ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગને એમ-સેન્ડનો વ્યાપક ઉપયોગ કરવા કહ્યું છે. અગાઉ ડેપોમાંથી 600 રૂ. પ્રતિ બ્રાસે રેતી વેચવાની પદ્ધતિ રદ કરવામાં આવી છે.રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રેતી માફિયાના કબજામાંથી ખનન વ્યવસ્થાને મુક્ત કરવી અને આવકમાં વધારો કરવો તેની પ્રથમ પ્રાધાન્યતા છે.
રજૂઆત:મનપામાં વર્ગ-4ના સફાઈ કામદારોનું મહેકમ મંજૂર કરાવો : રાજ્ય કર્મચારી સંઘ
સુરેન્દ્રનગર મનપાના સફાઇ કામદારોએ વઢવાણ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક અને આગેવાનોને સાથે રાખી પ્રભારી મંત્રીને રજૂઆત કરી હતી. જેમાં સફાઇ કામદારનું મહેકમ મંજૂર કરાવવા અને કાયમી લાભો અપાવવા, છૂટા કરેલાને પરત લેવા સહિતની માંગ કરી હતી. સુરેન્દ્રનગર મનપાના સફાઇ કામદારીએ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુર પાટડીયા સાથે રાખી પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર મનપામાં કોન્ટ્રાક્ટ બેઝના 350થી વધ સફાઇકામદારો અને 150 જેટલા કાયમી સફાઇ કામદરો કામ કરે છે. હાલ વિસ્તાર વધતા વસ્તી વધી છે. સફાઇ કામદારોની ઘટ હોવા છતાં ઓછા કામદારોએ શહેરની સફાઇ થાય છે. આથી સફાઇ કામદારોનું મહેકમ 1000 કરવા માંગ કરી હતી. જ્યારે નગરાલિકા હતી ત્યારથી વર્ગ-4ના સફાઇકામદારો 2007-08થી 15 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પ્રથાથી કામ કરે છે. તેઓને લઘુતમ વેતન અને શ્રમ કાયદા સહિતના લાભ અપાવવા અને કોન્ટ્રાક્ટ બેઝના તમામને મનપામાં સમાવવા માંગ છે. જ્યારે કોઇ કામદારનું અવસાન થાય તો તેમના પરિવારજન વારસદારને રહેમરાહે નોકરી આપવા, પાર્ટ ટાઇમ સફાઇ કામદારને ફૂલટાઇમ કામગીરી કરાવવા, નિવૃત સફાઇ કામદારોને પ્રોવિડન્ટ ફંડની રકમ અપાવવા, છૂટા કરાયેલ સફાઇ કામદારોને પરત લેવડાવવા સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી.
કામગીરી:ગણેશ જાડેજાનો નાર્કેટેસ્ટ પૂરો, 2 દિવસમાં રિપોર્ટ આવશે
રાજકોટમાંથી મળી આવેલી રાજકુમાર જાટના મૃતદેહને લઇને ચકચાર ફેલાઇ હતી. ગણેશ જાડેજાએ જાતે જ પોતાનો નાર્કોટેસ્ટ થાય તેવી કોર્ટ સમક્ષ અરજ કરી હતી. ત્યારે એફએસએલના અધિકારીઓ દ્વારા ગણેશ જાડેજાનો નાર્કોટેસ્ટ કર્યો હતો. તપાસ અધિકારી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે નાર્કોટેસ્ટ પૂરો થઇ ગયો છે. તેમાં અમારે હાજર રહેવાનું હોતું નથી. 2 દિવસ આસપાસ એફએસએલ અમને રિપોર્ટ આપશે. તે રિપોર્ટને આધારે તપાસ કરવામાં આવશે.
વિરોધ:ગાંધીજી દારૂ પીતા હતા તેવું કહેનાર ભાજપના ધારાસભ્ય માફી માંગે, મોરબી કોંગ્રેસનો વિરોધ
ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાએ ગાંધીજી પણ દારૂ પીતા હતા તેવા નિવેદન સાથે તેમણે જ ફેસબુકમાં વીડિયો મૂક્યો હતો. જેને લઇને મોરબી કોંગ્રેસ દ્રારા દેખાવો કરીને ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઇ માફી માંગે અથવા રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ મુદ્દે ભાજપ સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીને સીધો સવાલ કર્યો કે, અગાઉ રાજસ્થાનના કોંગ્રેસના મુખ્ય મંત્રીએ ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે ટીપ્પણી કરી ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેને ગાંધીજીનું અપમાન ગણાવ્યું હતું. જો કોંગ્રેસના નેતાની ટીપ્પણી ગાંધીજીનું અપમાન હોય, તો હાલમાં ભાજપના પોતાના જ ધારાસભ્ય દ્વારા ગાંધીજી દારૂ પીતા હતા તેવું જે નિવેદન આપવામાં આવે છે, તે શું ગાંધીજીનું અપમાન નથી?
કાર્યવાહી:સુરેન્દ્રનગરમાંથી 6 હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો, 2.50 લાખનો સામાન જપ્ત
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ શહેરમાં વેચાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા સહિતની વસ્તુઓનું વેચાણ કરનાર સામે ધોંસ બોલાવી એક પછી એક જગ્યાએ દરોડા પાડી રહ્યા છે ત્યારે ગુરૂવારે વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ આવેલ ગણેશ પ્લાસ્ટિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી 6 હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા સહિત અંદાજે રૂ.2.50 લાખનો સામાન મળી આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં મનપાએ ગુરૂવારે ગણેશ પ્લાસ્ટિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂ.2.50 લાખની કિંમતનો પ્રતિબંધિત સામા ગોડાઉન સીલ મારવાની ચીમકી આપતા ખોલ્યું ગણેશ પ્લાસ્ટિકમાં પ્રતિબંધિત ઝબલાનો જથ્થો હોવાની મનપાને હકીકત મળી હતી. પરંતુ ધોંસ વધતા દુકાનદારે દુકાનને તાળા મારી ખોલતા જ ન હતા. આથી મનપાની ટીમે દુકાન ખોલવામાં નહીં આવે તો સીલ મારીવાની ચીમકી આપ્યા બાદ દુકાન ખોલવામાં આવી હતી અને મોટો જથ્થો પકડાયો હતો. આવ્યો હતો. છતાં શહેરમાં તેની માંગ હોવાને કારણે વેપારીઓ વેચાણ કરી રહ્યા છે.
ચેકિંગ:હાલારના 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડાણ કટ કરાયા
જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-2025માં પીજીવીસીએલના 1,22,811 વીજ ગ્રાહકોના રૂ.62.34 કરોડ જેટલી બાકી લેણી રકમની વસુલી માટે વીજતંત્રએ કડક હાથે ઉઘરાણી કરવા માટે જોડાણની 100 ટીમોએ કડક હાથે ઉઘરાણી શરૂ કરી છે અને 28,429 વીજ ગ્રાહકો પાસેથી વસુલ કરી છે. જેમાં 547 જેટલા વીજ ગ્રાહકોના વીજજોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. જામનગર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના પીજીવીસીએલના નાણાંકીય વર્ષ 2025-26ના ડિસેમ્બર મહિનામાં બાકી વીજબિલની રકમમાં મોટો વધારો નોંધાયો છે. બંને જીલ્લામાં મળી કુલ 1,22,811 બાકીદારો પર રૂ. 62.34 કરોડ જેટલી લેણી રકમ બાકી હોવાથી કંપની દ્વારા તાત્કાલિક અને કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે દૈનિક 100થી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે ઘર ઘર જઈ મીટર, સર્વિસ લાઈન તેમજ જરૂર પડે ત્યારે ટી.સી. ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશમાં 28,429 ગ્રાહકોએ રૂ. 17.75 કરોડની બાકી રકમ ભરપાઈ કરી દીધી છે. 547 ગ્રાહકોએ અનેક સૂચનાઓ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન કરતાં, તેમના વીજ જોડાણો કંપનીના નિયમો મુજબ કાપી નાખવામાં આવ્યા છે. હાલ પણ 93,835 બાકીદારો પર રૂ. 42.64 કરોડની લેણી છે, જેની વસૂલાત માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે. વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી માટેના માધ્યમો વીજ બીલના નાણાં ભરપાઈ કરવા માટે વીજ તંત્ર દ્વારા ઈ.સી.એસ., ડેબીટ કાર્ડ-ક્રેડીટ કાર્ડ , પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા, કંપનીની વેબસાઈટ મારફત યુપીઆઈ મોડથી, ઈન્સ્ટા પેમેન્ટ તેમજ ઈ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત, એસટીએમ મશીન અને આરટીજીએસ તેમજ એનઈએફટી દ્વારા વીજ બીલો ચુકવણા કરી શકે છે.
દર્દીઓ ગોટે ચડ્યા:સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 1 માસથીએક્સ-રે બંધ, દર્દીઓને બમણી પીડા
જામનગરમાં આવેલી અને ગુજરાતની સૌથી મોટી ગણાતી તેમજ આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ નામ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રામાં છેલ્લા એક મહિનાથી વધુ સમય એક્સરે મશીન બંધ છે જેને કારણે દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વ કક્ષાએ પોતાનું નામ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદમાં છેલ્લા એક મહિનાથી મશીન બંધ હાલત છે. ઉલ્લેખનીય છે કે દરરોજ અહી મોટી સંખ્યામાં લોકો અન્ય ગામોથી પણ અહીં સારવાર કરાવવા માટે આવતા હોય છે. અત્યારે જરૂર પડે તે દર્દીઓને એક્સરે માટે કહેવામાં આવતું હોય છે પરંતુ અહીં બંધ હોવાથી દર્દીઓને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પરંતુ કરમની કઠણાઈ તો એ છે કે સરકારી જીજી હોસ્પિટલમાં પણ પોતાના જ દર્દીઓની સંખ્યા એટલી હોય છે કે કલાકો સુધી ઉભા રહ્યા બાદ પણ ઘણી વખત દર્દીઓને એક્સરેનો વારો આવતો નથી. આથી ના છૂટકે દર્દીઓને મસ મોટા રૂપિયા ખર્ચીને દર્દીઓને પ્રાઇવેટમાં એક્સરે પડાવવાની ફરજ પડી રહી છે જેને કારણે દર્દીઓની હાલાકી બેવડાય છે. આ અંગે તંત્રને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે મશીનની રીપેરીંગ કામગીરી માટે પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. મશીનના પાર્ટસ ખરાબ હોવાથી તેને બદલાવા પડે તેમ છે. નવા મશીનની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાય છેએક મહિનાથી મશીન બંધ છે જ્યારથી મશીન બંધ થયું છે ત્યારથી જ કંપનીને વાત કરી અને તેની ખરાબી ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં પાર્ટ્સ બદલવાની ફરજ પડી છે તેમ જણાવ્યું હતું પરંતુ કંપની માં સરળતાથી પાર્ટ્સ મળી શકે તેમ નથી તે માટે તેની રાહ જોવામાં આવી રહી આ ઉપરાંત બીજી તરફ નવા મશીનની ખરીદી માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જો પાઠ મળી જાય અને જૂનું મશીન રીપેર થઈ જાય તો સંસ્થામાં બે મશીનની સુવિધા દર્દીઓને મળી જશે - ચિત્રાંગજાની ,પી આર ઓ, ઇટ્રા
ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવી 6 મહિનામાં સાઈબર ક્રાઈમના રૂ.100 કરોડ દુબઈ મોકલવાના કૌભાંડમાં બેંકના મહિલા મેનેજર, તેના પતિ સહિત વધુ 4ની ધરપકડ કરાઇ છે. મેનેજરનો પતિ અગાઉ આ કૌભાંડમાં પકડાયેલા 10 આરોપીના સંપર્કમાં હતો. તેમની સાથે મળી તેણે બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જે પેટે મહિલા મેનેજર અને પતિ 1-2 ટકા કમિશન લેતાં હતાં. 26 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં સાઈબર ફ્રોડના 719 કરોડ પડાવવાના કૌભાંડમાં સાઈબર સેન્ટર ઓફ એક્સિલન્સ ટીમે અગાઉ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકના 2 કર્મી સહિત 10ની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં આ કૌભાંડમાં ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચના મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી, તેના પતિ સાહીલ સંજય સાધુની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછમાં સાઈબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલે તેમની બ્રાંચમાં 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેમાંથી 109 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા સાઈબર ફ્રોડના રૂ.11 કરોડ ભાર્ગવ જનક પંડયાએ અન્ય આરોપીઓ સાથે મળી હવાલા-આંગડિયા તથા વોલેટ દ્વારા દુબઈ, કમ્બોડિયા, મ્યાનમાર મોકલ્યા હતા. જેના આધારે પોલીસે ભાર્ગવ અને મહિપાલસિંહની પણ ધરપકડ કરી હતી.આ કૌભાંડમાં ભૂમિકા અને સાહીલે ટ્રાન્જેક્શન પર 1-2 ટકા કમિશન લીધું હતું. જેની તપાસમાં 6 મહિનામાં 110માંથી 109 મ્યુલ એકાઉન્ટમાં રૂ.100 કરોડની હેરાફેરી થઈ હતી. આ 100 કરોડમાંથી દંપતીએ રૂ.1થી 1.5 કરોડ કમિશન લીધું હતું. એકાઉન્ટ ખોલાવનાર અને પૈસા દુબઈ મોકલનાર સહિત વધુ 4 પકડાયા 2 મહિના પહેલાં જ ભૂમિકાના કૌભાંડનો અણસાર આવતા બેંક સત્તાવાળાએ ઈન્કવાયરી શરૂ કરેલીભૂમિકાબહેન ડિસેમ્બર 2023 માં ઈન્ડસ ઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં મેનેજર તરીકે જોડાયા હતા. હાલમાં તેમનો પગાર માસિક રૂ.73 હજાર હતો. તેઓ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા હોવા અંગેની ફરિયાદ 2 મહિના અગાઉ બેંક સત્તાવાળાને મળી હતી. જેના આધારે વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા ઈન્કવાયરી પણ કરવામાં આવી હતી. તેમની મ્યુક એકાઉન્ટ ઘારકોના સંપર્કમાં હોવાની કેટલીક માહિતી બેંક સત્તાવાળાને મળી હતી. પરંતુ બેંક સત્તાવાળા કોઈ પગલા લે તે પહેલા જ પોલીસે તેણીની ધરપકડ કરી હતી. ભૂમિકાએ KYC વિના 110 એકાઉન્ટ ખોલ્યાંપોલીસનું કહેવું છે કે, આરોપીઓએ ઈન્ડસઈન્ડ બેંકની ભાવનગર બ્રાંચમાં 6 મહિનામાં જ 110 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટનું પ્રોપર વેરિફિકેશન કરાયું નહોતુ. તે એકાઉન્ટ પૈકી 109 એકાઉન્ટમાં 6 મહિનામાં જ રૂ.100 કરોડનાં ટ્રાન્જેક્શન થયાં હતાં.
મનિષ પારીક પાટડીના એરવાડાના ભરતભાઇ નરશીભાઈ દેવીપૂજક (30), મહેશભાઇ નરશીભાઇ દેવીપૂજક (28)નું નોકરીએ જતાં પ્રથમ દિવસે જ નાવિયાણી પાસે અકસ્માતમાં મૃત્યુ થયું છે. બંને ભાઇઓના મોતથી 5 સંતાનો, માતા-પિતા અને તેમની પત્ની સહિત 9 સભ્ય નોંધારા બન્યા છે. તો માતા-પિતાહાર્ટના દર્દી છે. પિતાએ વલોપાત સાથે જણાવ્યું હતું કે, મારા બંને દીકરા રૂ.400 કમાવવા નોકરીએ જવા નીકળ્યા હતા,’ને પ્રથમ દિવસે જ મોત થતાં આ આંસુ ક્યારે નહીં સૂકાય.... આ અકસ્માતમાં 20 વર્ષિય બાઇકચાલક સંજયભાઈ ભાથીભાઈ ઠાકોર (પગી) પણ મૃત્યુ પમ્યા છે. તેમના માતા તો જૈન સાધ્વીજીને લઈને જૂનાગઢ વિહારમાં ગયા હતા. દસાડા પીઆઇ વી.જે.માલવિયાએ સીસીટીવીમાં બે વાહનો શંકાસ્પદ દેખાયા હતા. જો કે, કઇ તરફથી ટક્કર મારી તે સ્પષ્ટ નથી. રાજભા સોલંકી : અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રગનર જિલ્લાને જોડાતાં માર્ગ ઉપર 4 મહિનામાંથી હાંસલપુરથી નાવિયાણી રોડ ઉપર માત્ર 800 મીટરમાં 6 વ્યક્તિના અકસ્માતે મોત થયા છે. ભાસ્કરની તપાસમાં હાંસલપુર તરફથી આવતો ફોરલેન રોડ વળાંક બાદ એકાએક ટુ લેન થઇ જાય છે. એરવાડાના 3 યુવકના મૃત્યુ જે રીતે થયા તે જોતાં ટક્કર મારનારા વાહનની ગતિ 70થી 80ની હોવી જોઇએ. જે ફોરલેનમાંથી ટુલેનમાં આવેલા વાહનની શક્ય છે. ઘટનાસ્થળથી 200 મીટર ે 18 મીટરનો રોડ
‘મૂલ હન્ટ’ ઓપરેશન:20 સ્પેશિયલ ટીમની 5 દિવસ ડ્રાઈવ, બેંકોને ઝડપથી માહિતી આપવા સૂચના
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સાયબર ગુનેગારોને પકડવા વિશેષ ડ્રાઇવનો શુભારંભp ઓપરેશન મૂલ હન્ટ અંતર્ગત સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટે બેંક એસોશિયેશન અને મેનેજર્સની એક મહત્ત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરાયું. સુરેન્દ્રનનગર ઓપરેશન મુલ હન્ટ અંતર્ગત સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ની ડ્રાઇવ સબબ બેન્ક એસોશીએશન, મેનેજર્સની મીટીંગ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચના અને પ્રેમસુખ ડેલૂ જીલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાઓની માર્ગદર્શન હેઠળ તેમજ ડી.વાય એસ પી નિકુંજ પટેલ અધ્યક્ષતામાં હાથ ધરાયુ છે.જેમાં વિવિધ બેંકોના મેનેજરોને બોલાવી OPERATION MULE HUNT અંગેની બેઠકનુ આયોજન કરવામા આવેલ હતુ. જે બેઠકમા સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબી, એસઓજી, ટેકનીકલ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હાજર રહેલ હતા. .આ ડ્રાઇવ આગામી દિન 5 સુધી ચાલુ રહેશે.સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં એસ-એક્સ ટીમ એમ કુલ 20 ટીમો બનાવાઇ છે.દરેક ટીમમાં 1 PSI, કોમ્પ્યુટર ઓપરેટર, ડી સ્ટાફ અને રાઈટરનો તથા સાયબર પોલીસ સ્ટેશન, LCB અને SOGની પણ ટીમો બનાવાઇ છે. આ મિટીંગ બેંક દ્વારા ઝડપથી માહિતિ પુરી પાડવા, ફ્રોડ એકાઉન્ટની ઓળખ કરવા વિગેરે સુચનાઓ આપવામાં આવેલ સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલી છે. 1 વર્ષમાં 7 ગુનામાં 4 આરોપી પકડાયાહેલ્પલાઇન નંબર 1930ની મદદથી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું હતું. જેમાં સાયબર ક્રાઇમના 7 ગુનામાં 4 આરોપી પકડ્યા છે. 286 અરજદારોને રૂ.60,61,696ની રીકવરી કરાઈ છે. ભોગ બનો તો આટલું કરો સૌથી પહેલું કામ તમારી બેંકને જાણ કરોડ, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરો. અથવા સાયબર ગુનાઓની ફરિયાદ માટે ઑનલાઇન પોર્ટલ www.cybercrime.gov.in પર કરીશકો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો રાવાઓને સુરક્ષિત રાખો સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં લોકો ગભરાઇને મોબાઇલ ફોર્મેટ કરી દે છે ત્યારબાદ તેઓ પોલીસ પાસે જાય છે આવું બિલકુલ ના કરવું જોઇએ.
ગુજરાતમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશનો પહેલો ગણતરીનો તબક્કો 14 ડિસેમ્બરે પૂર્ણ થયા બાદ રાજ્યના સવા કરોડ જેટલા મતદારો પર મોટી કાર્યવાહીનું દરવાજા ખુલશે. રાજ્યના કુલ 5.08 કરોડ મતદારોમાંથી 53 લાખનું 2002ની મતદાર યાદી સાથે મેપિંગ નથી થયું, જ્યારે 74 લાખથી વધુ મતદારના ફોર્મ જ મળ્યા નથી, જેમાં મૃત્યુ, સ્થળાંતર, ડુપ્લીકેશન કે અન્ય કારણ છે. સુત્રોના જણાવ્યા મુજબ, જે મતદારોનું મેપિંગ થયું નથી તેમણે હવે નોટિસ મળશે, અને 13 માન્ય દસ્તાવેજોમાંથી કોઈ એક પુરાવો રજૂ કરવો પડશે. પુરાવો ન હોય તો ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ નામ કાપવાની કાર્યવાહી અનિવાર્ય બનશે. બીજી તરફ, ફોર્મ ન મળનારા 74 લાખમાંથી વાસ્તવમાં માત્ર 5 થી 7 લાખ જેટલા જ મતદાર યાદીમાં રહી શકે, બાકીના 68 લાખથી વધુના નામ કમી થઈ શકે છે. આ સંખ્યાઓ રાજ્યમાં મતદાર યાદીનું અત્યાર સુધીનું સૌથી મોટું રી-ઓર્ગેનાઈઝેશન બનશે. આથી આવનારા ચૂંટણીઓમાં મતદાર યાદી વધુ પારદર્શક, ચોક્કસ અને અપડેટેડ બનવાની અપેક્ષા છે, જેને કારણે વાસ્તવિક મતદારોની ઓળખ વધુ સચોટ રીતે થઈ શકે છે. મેપિંગ માટે 13 પુરાવાની યાદી, નામ કાપવા, સ્થળ ચકાસણી, પંચનામું ફરજિયાત ફોર્મ ન મળનારામાંથી 68 લાખ નામ કપાશે74 લાખ ફોર્મ ન મળનારામાંથી મહત્તમ કેસ મૃત્યુ, કાયમી સ્થળાંતર અથવા ડુપ્લીકેશનના છે. અંદાજે માત્ર 5–7 લાખ જ યાદીમાં રહી શકે, જ્યારે 68 લાખથી વધુ મતદારોનું નામ શોર્ટલિસ્ટમાંથી કાઢી શકાય એટલે રાજ્યની મતદાર યાદીમાં ઐતિહાસિક લેવલનું ક્લીન-અપ. તમામ જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ 11 ડિસેમ્બર સુધી પ્રથમ તબક્કો પૂર્ણ થવાનો હતો, જે તા. 14 સુધી લંબાવાયો છે. જોકે ગુરુવાર સવાર સુધીમાં રાજ્યના તમામ 33 જિલ્લામાં 100% કામ પૂર્ણ થઇ ચુક્યું છે. ડાંગ જિલ્લામાં સૌથી પહેલા કામગીરી પૂર્ણ થઈ છે.
ટિકેન્દ્ર રાવલ ગુજરાતના શિક્ષણ વિભાગ હેઠળ આવેલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિવૃત્ત આઈએએસ સુજિત ગુલાટીની કંપની આર્મી ઇન્ફોટેકને 2023માં 70 હજાર સ્માર્ટ કલાસ માટે 596 કરોડનો જંગી કોન્ટ્રાકટ આપી દેવાયો હતો ત્યાર બાદ 2025માં ફરી 43 હજાર ક્લાસરૂમનો 372 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલેકે એક જ કંપનીને ચાર વર્ષમાં 968 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા 100 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની હાલ 1 હજાર કરોડથી વધુનું ટર્નઓવર કરી રહી છે. રાજ્યના શાળાઓમાં સ્માર્ટ કલાસ તૈયાર કરવા માટે ટેન્ડર પદ્ધતિ અપનાવવામાં આવી હોય તો પણ કંપનીના ટેકનિકલ અને ફાઇનાન્સિયલ બાબતો તપાસ કરવામાં આવી હોય તો, 100 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આર્મી ઇન્ફોટેક કંપનીને 500 કરોડનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ખાસ કરીને નિવૃત્ત આઈએએસ સુજિત ગુલાટી કે જેઓ આર્મી ઇન્ફોટેક કંપનીના ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. આ અગાઉ 2015માં સુજિત ગુલાટી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે પણ ફરજ બજાવતા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સરકારી શાળાઓમાં સ્માર્ટ કલાસ તૈયાર કરવા અગાઉ 2023માં કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેમાં આર્મી ઇન્ફોટેક કંપનીને 85,197 રૂપિયામાં 70,000 કલાસરૂમ તૈયાર કરવા એટલે કે 596 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરેક્ટિવ પેનલ અને એસેસરીઝ ઉપરાંત લેપટોપ-નોટબુકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રોકેટની ગતિથી કંપનીના ટર્ન ઓવરમાં વધારો થયો 2021 105 કરોડ2022 125 કરોડ2023 515 કરોડ 2024 1007 કરોડ RTIમાં જવાબ 2025માં રૂ.372 કરોડના કોન્ટ્રાક્ટ પહેલાં 2023માં 596 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતોવિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્માર્ટ કલાસ માટે આપવામાં આવેલા કોન્ટ્રાકટની આરટીઆઈના જવાબમાં આપેલી વિગતો મુજબ સ્માર્ટ કલાસની ખરીદી માટે જીઈએમ પોર્ટલ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રિવર્સ ઓક્શનના અંતે એક સ્માર્ટ કલાસની કિંમત રૂ.85,197 છે અને કુલ 43,750 સ્માર્ટ કલાસ માટે 372 કરોડનો કોન્ટ્રાકટ આર્મી ઇન્ફોટેક આપાયો. 2023માં 70,000 કલાસરૂમના કોન્ટ્રાકટ બાદ ફરી એકવાર આર્મી ઇન્ફોટેકને સ્માર્ટ કલાસનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જે બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કમાણીનો કીમિયો: એક જ કંપનીને કરોડોના બંને કોન્ટ્રાક્ટ અપાયાશાળાના એક ક્લાસરૂમને ડિજિટલ સ્માર્ટ ક્લાસ બનાવવા માટે કંપનીને 85,197 રૂપિયા લેખે 70 હજાર ક્લાસરૂમ બનાવ્યા બાદ 2025માં વધુ 43,750 ક્લાસરૂમનો ઓર્ડર આપવામાં આવ્યો. અમારી કંપનીને સ્માર્ટ કલાસનું ટેન્ડર મળ્યું હા, અમારી કંપની પાસે સ્માર્ટ કલાસનો કોન્ટ્રાકટ છે. 2023માં કંપનીનું ટર્ન ઓવર 125 કરોડ હતું. અમે સર્વ શિક્ષા અભિયાનમાં ઓછા ભાવે ટેન્ડર ભર્યું હતું તેથી અમને ટેન્ડર મળ્યા છે. જેનાથી સરકાર ને પણ ફાયદો જ થયો છે.’ - બ્રિજેશ વોરા, આર્મી ઇન્ફોટેક કંપની ના ડાયરેક્ટર (સુજીત ગુલાટી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ વારંવાર નિષ્ફળ નિવડ્યો હતો.) બ્લેક નહીં, વ્હાઈટ સ્માર્ટ બોર્ડ સાથે શિક્ષણ એટલે ડિજિટલ સ્માર્ટ કલાસ.. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળના ‘જ્ઞાનકુંજ’ કાર્યક્રમ શાળાના વર્ગખંડોમાં ટેકનોલોજીના સાધનો, જેમ કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટર એક્સ્ટેન્ડર વગેરેની મદદથી ઇન્ટરેક્ટિવિટી અને શિક્ષણ-અધ્યાપન પ્રક્રિયાને વધારવા માટેનો એક શાળા ડિજિટલાઇઝેશન કાર્યક્રમ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં શાળા કક્ષાએ ટેકનોલોજી દ્વારા વિકસિત સ્માર્ટ બોર્ડ સાથેનો ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસ તૈયાર કરવામાં આવે છે.
વિસાવદર તાલુકાના મોણીયા ગામે દોઢેક માસ પૂર્વે ખેતીવાડી વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં ફરજ પરના વીજ કર્મીને શોર્ટ લાગતા તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની વીજ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે હકીકત સામે આવી છે, તેના આધારે એક બેદરકાર ખેડૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભેંસાણના પરબવાવડીમાં રહેતા અને વિસાવદર-2 પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ છગનભાઈ સાસીયા (ઉ.32) ગત તારીખ 20 ઓક્ટોબર 2025ના રોજ મોણીયા એજી ફીડરમાં ઓછા પાવરની ફરિયાદ મળતાં રિપેરિંગ માટે ગયા હતા. નિયમ મુજબ, વિસાવદર સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ કરાવી, ચેતનભાઈએ લાઇનમેન સાથે મળીને ફીડર લાઇન બંધ હોવાની ખાતરી કરી હતી અને તેઓ ફોલ્ટ રિપેર કરવા માટે પોલ પર ચડ્યા હતા. રિપેરિંગ કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક વીજલાઈનમાં પાવર આવી જતા ચેતનભાઈને જોરદાર વીજ શોક લાગ્યો હતો અને તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. તપાસમાં ફેઝ ચેન્જર સ્વીચનું કારણ ખુલ્યું આ લાઇનનો પુરવઠો સત્તાવાર રીતે બંધ હોવા છતાં ક્યાંથી પાવર આવ્યો તે જાણવા માટે વીજ અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મોણીયા ગામના ખેડૂત રમેશ મેપા શ્યારાનું નામ સામે આવ્યું હતું. વીજ અધિકારીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું કે રમેશ મેપા શ્યારાએ પોતાના ખેતીવાડીના વીજ જોડાણમાં ગેરકાયદેસર રીતે ફેઝ ચેન્જર સ્વીચ લગાવી હતી. તેમણે આ સ્વીચના માધ્યમથી ખેતીવાડી ફીડરમાં જ્યોતિગ્રામ ફીડરનો પાવર જોડી દીધો હતો. જ્યોતિગ્રામનો પાવર આ રીતે ગેરકાયદેસર જોડાણ મારફતે મેઇન લાઇન સુધી પહોંચ્યો હતો, જેના કારણે બંધ પડેલી લાઈનમાં પાવર આવ્યો અને ફરજ પરના વીજ કર્મી ચેતનભાઈ સાસીયાને શોક લાગ્યો હતો.ડેપ્યુટી એન્જિનિયરે ખેડૂત રમેશ શ્યારાનું નિવેદન લેતા, તેણે પોતાના વીજ જોડાણમાં ઓટોમેટિક ફેઝ ચેન્જર સ્વીચ રાખીને જ્યોતિગ્રામનો વાયર જોડ્યાનું કબૂલ્યું હતું. ખેડૂત સામે બેદરકારી રાખવા મામલે ગુનો દાખલ આ ગંભીર બેદરકારીને કારણે પથારીવશ થયેલા વીજ કર્મી ચેતનભાઈ સાસીયાએ આખરે મોણીયાના રમેશ મેપા શ્યારા વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ખેડૂત સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો 125(a) જેમાં માનવ જીવનને જોખમમાં મૂકતી કૃત્ય અને 287 મશીનરી અંગે બેદરકારી રાખવા મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોર પૈકી 4 ડૂબ્યા હતા. જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે એકની લાશ મળી છે. તેમજ અન્ય બેની શોધખોળ હાલ ચાલું છે. હાલ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મુકીવલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ તળાવમાં આજે દુઃખદ બનાવ બન્યો હતો. તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોરોને તરતા ન આવડતા તેઓ તળાવના પાણીના ઘેરા ભાગમાં ડૂબવા લાગ્યા હતા. જ્યારે 3 બાળકો બહાર આવી ગયા હતા અને બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી મુકી હતી. સ્થાનિક યુવકે તળાવમાં કૂદી એકને બચાવ્યોમદદની ચીસ સાંભળતા જ નજીકના વિસ્તારમાં રહેતા એક સ્થાનિક યુવકે તાત્કાલિક તળાવમાં કૂદી પડતા એક કિશોરને જીવતો બહાર કાઢ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર ફાઈટર ટીમ તેમજ દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકફાયર ટીમે મોડી રાત સુધી તળાવમાં ડૂબેલા કિશોરોની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. બાકી બે કિશોરોની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા વ્યાપી છે. સ્થાનિકો સહિત પ્રશાસન ટીમો બચાવ અને શોધખોળમાં નિરંતર લાગેલી છે. બાળકને બચાવનાર યુવકે શું કહ્યું?સ્થાનિક યુવકે જણાવ્યું કે, હું મારા ઘરે હતો ત્યારે અચાનક બહારથી લોકોની બૂમો સંભળાતા તરત જ બહાર દોડ્યો હતો. લોકોને કહેતા સાંભળ્યું કે, કેટલાક બાળકો પાણીમાં ડૂબી રહ્યા છે. જેથી મે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર તળાવ તરફ દોડી ગયો હતો અને તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યો હતો. 'બાળકના પેટમાં ઘણું પાણી ભરાઈ જવાથી તેની સ્થિતિ ગંભીર હતી'વધુમાં જણાવ્યું કે, મે પાણીમાં સંઘર્ષ કરી રહેલા એક બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. બાળકના પેટમાં ઘણું પાણી ભરાઈ જવાથી તેની સ્થિતિ ગંભીર હતી. જોકે, તરત જ પ્રાથમિક સારવાર આપી પેટમાંથી પાણી બહાર કાઢ્યું હતું, જે બાદ બાળક ધીમે ધીમે આંખો ખોલી ભાનમાં આવ્યો હતો. યુવકના જણાવ્યા મુજબ, માત્ર એક મિનિટનો પણ વધુ વિલંબ થયો હોત તો બાળકનું જીવન જોખમમાં મુકાઈ શકતું હતું. યુવકે જણાવ્યું કે, ઘટનાસ્થળે તેને માત્ર એક જ બાળક નજરે પડ્યો હતો અને તેને જ બચાવવાની તક મળી હતી. જોકે, તે બાળકો જણાવી રહ્યા હતા કે હજુ બીજા બાળકો પણ ત્યા અંદર છે
જૂનાગઢ શહેર અને જિલ્લાની જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જાળવવાના મક્કમ નિર્ધાર સાથે પોલીસે વધુ એક કડક પગલું ભર્યું છે. અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી સમાજમાં ભય અને તણાવ ફેલાવનાર ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢના એક લિસ્ટેડ બૂટલેગર રવિ ભારાઈની આગેવાનીમાં ચાલતી ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરી એકવાર સંગઠિત ગુનાખોરીની આર્થિક કરોડરજ્જુ તોડવા માટે ગુજસીટોક કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક-2015 ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દસ વર્ષથી ગુના આચરતી ટોળકીના 4 સભ્યો ઝડપાયાક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ. પટેલ દ્વારા સરકારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આરોપી રવિ હમીરભાઈ ભારાઈ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુના આચરતી ટોળકી ચલાવતો હતો. રવિ હમીરભાઇ ભારાઇ, વિપુલ ઉર્ફે પુંજો ખાંભલા, રાજુ કરમટા રબારી, મના કટારા, રામા ચોપડા અને કિશોર ઉર્ફે કિશલો વાઘેલા દેવીપૂજક વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓમાંથી ચાર આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે અને આ ગુનાનો મુખ્ય આરોપી રવિ હમીર ભારાય અને કિશોર ઉર્ફ કિસલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વિદેશી દારૂની મોટા જથ્થામાં ગેરકાયદેસર હેરફેર કરતા હતાફરિયાદ મુજબ આ ગેંગ છેલ્લા દસ વર્ષથી જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, અને વલસાડ જેવા જિલ્લાઓમાં સક્રિય હતી. તેમનો મુખ્ય ગુનો દીવ-દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, અને ગોવા જેવા રાજ્યોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા જથ્થામાં ગેરકાયદેસર હેરફેર કરવાનો હતો. ગેંગ ટ્રક અને વાહનોના એન્જિન/ચેસીસ નંબર સાથે છેડછાડ કરતીપોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આ ટોળકી માત્ર દારૂની હેરફેર પૂરતી સીમિત નહોતી, પરંતુ તેનો મુખ્ય હેતુ મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવવાનો હતો. નાણાંકીય લાભ લેવાના આશયથી આ ગેંગ ટ્રક અને વાહનોના એન્જિન/ચેસીસ નંબર સાથે છેડછાડ કરતી, ખોટા ટ્રાન્સપોર્ટ અને GST બિલો બનાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતી હતી. ગેરકાયદેસર કમાણીથી ગેંગે આર્થિક સ્ટેટસ મજબૂત બનાવ્યું હતુંસંગઠિત ગુનાખોરીમાંથી કમાયેલું આ ગેરકાયદેસર નાણું દેશના અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડે છે, કારણ કે તેના પર કોઈ ટેક્સ ભરવામાં આવતો નથી અને તેનાથી કાળા નાણામાં વધારો થાય છે. વધુમાં, આ ગેરકાયદેસર કમાણીમાંથી આ ગેંગે પોતાનું આર્થિક સ્ટેટસ મજબૂત બનાવ્યું હતું અને આ જ નાણાંનો ઉપયોગ અન્ય ગંભીર ગુનાઓ આચરવામાં થતો હતો, જેનાથી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે અને સામાન્ય પ્રજા તેમની સામે ફરિયાદ કરતા ડરે છે. આરોપીઓએ જામીન મેળવી પુનઃ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખીઆ કેસમાં, આરોપીઓએ પ્રોહીબીશન ધારા હેઠળ અસંખ્ય ગુનાઓ આચર્યા હોવા છતાં જામીન મેળવીને પુનઃ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તેથી, ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓને 'સંગઠિત ગુના આચરતી ટોળકી'ના સભ્યો વિરુદ્ધ ગુજસીટોકની કલમો લગાવી છે. આ કાર્યવાહીનો સ્પષ્ટ સંકેત છે કે પોલીસ હવે માત્ર પ્રોહીબીશનના કેસ નહીં, પરંતુ આવા ગુનાઓ દ્વારા થતી આર્થિક કમાણી અને સંગઠિત માળખાને તોડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા ભયનો માહોલ પેદા કરનાર અન્ય ગુનેગાર ગેંગો સામે ગુજસીટોકના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસની આ કડક કાર્યવાહી દર્શાવે છે કે, રાજ્યમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરીના મૂળ સુધી પહોંચીને તેની આર્થિક કરોડરજ્જુ તોડવી આવશ્યક છે. આ પગલું જૂનાગઢ વિસ્તારમાં સંગઠિત ગુનાખોરી કરનારા અન્ય તત્વો માટે એક મોટી ચેતવણીરૂપ છે.
ભુજનાં રેલવે સ્ટેશન નજીક આવેલા દાદુપીર માર્ગે આજે સાંજે એક હત્યાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક શખસે પોતાની 30 વર્ષીય પત્નીની ધારદાર હથિયાર વડે હત્યા કરી હતી. આ હત્યા ઘર કંકાસના કારણે ઉશ્કેરાટમાં થઈ હોવાનું અનુમાન છે. ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં રેડ ક્રોસ સોસાયટીના ૨૫ જેટલા કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરાયા હતા. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ લીડિંગ ફાયરમેન પ્રદીપકુમાર પરમાર અને ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કર્મચારીઓને ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરવાની રીત, ઇમારતમાં લગાવેલ ફિક્સ ફાયર સિસ્ટમની સમજૂતી, કટોકટી સમયે બચાવ કામગીરીની ટેકનિક અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે વિગતવાર માહિતી અપાઈ હતી.કરમસદ આણંદ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ શહેરના વિવિધ સ્થળોએ નિયમિતપણે આવી ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં ફાયર સેફ્ટી અંગેની જાગૃતિ લાવવાનો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યકિતઓના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયાપુરમાં બાઇકચાલકની ટક્કરથી વૃદ્ધનું મોતમાધુપુરામાં રહેતા 55 વર્ષીય અશોકભાઈ ઠાકોર 6 ડિસેમ્બરના રોજ રોજની જેમ દરિયાપુરના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. દરિયાપુર દરવાજા સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઇકચાલકે તેમને જોરદાર ટક્કર મારતા તેઓ ઉછળી રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું. અકસ્માત પછી બાઇકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વટવામાં ટ્રક અને રિક્ષાની ટક્કરમાં રિક્ષાચાલકનું મોતબીજો બનાવ 7 ડિસેમ્બરે વટવા વિસ્તારમાં બન્યો હતો. 35 વર્ષીય ભરતભાઈ ચૌહાણ રિક્ષા ચલાવી જીવન ચલાવતા હતા. સદભાવના પોલીસ ચોકી પાસે તેઓ ટર્ન લઈ રહ્યા હતા ત્યારે ઝડપથી આવતી ટ્રકે તેમની રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ અને ભરતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ડ્રાઈવર પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકોએ બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં સારવાર દરમિયાન ભરતભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.
'આટલી સારી ઓફર મળી છે તો સહી કરી નાંખો', ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ
India US Trade Deal: ટ્રેડ ડીલ મુદ્દે ભારતની અમેરિકાને સલાહ આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (11 ડિસેમ્બર) કહ્યું કે, 'જો અમેરિકા ભારતની વેપાર કરારની ઓફરથી ખુશ છે, તો તેમણે તાત્કાલિક ભારત સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ.' આ દરમિયાન ગોયલે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતની ઓફર પર વિચારણાનું સ્વાગત કર્યું છે. જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત સમયમર્યાદાના આધારે કોઈપણ કરાર કરશે નહીં. અમેરિકાના વેપાર પ્રતિનિધિની પ્રતિક્રિયા
વડોદરા શહેરના ગોરવા વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીત મહિલા અજીજા ઇસ્માઇલ દિવાનની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરીને મૃતદેહ શહેરથી આશરે 8 કિલોમીટર દૂર અંકોડિયા ગામના ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ગત રોજ સ્થાનિકોને મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આજે પોલીસે મૃતક મહિલાનો મોબાઈલ કબજે કરી FSLમાં મોકલ્યો છે. જ્યારે આ હત્યા કોણે કરી તે દિશામાં તપાસ માટે પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. પતિ સાથે અણબનાવને લઈ માતા-પિતાના ઘરે રહેતી હતીમૃતક અજીજા છેલ્લા છ મહિનાથી પતિ સાથે અણબનાવને કારણે પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી, તેને એક પુત્ર રેહાન પણ છે. 10 ડિસેમ્બરના રોજ તે ઘરેથી નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યુંબીજા દિવસે સવારે અંકોડિયા ગામ પાસેના ખેતર વિસ્તારમાંથી મૃતદેહ મળતાં તાલુકા પોલીસના પીઆઈ વી.એમ. ટાંક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંચનામું બનાવી લાશને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલી હતી. પ્રાથમિક તપાસમાં ગળામાં દુપટ્ટાનો નિશાન લાગતો હોવાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાહત્યારાને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મહિલાના ઘરથી લાશ મળી હતી તે સ્થળ સુધીના આખા રૂટ પર આવતા 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા છે. તેમજ ઘટનાસ્થળની ઝાડીઓમાંથી મૃતકનો મોબાઇલ ફોન મળી આવ્યો છે, જેને ફોરેન્સિક તપાસ માટે FSL મોકલી આપવામાં આવ્યો છે. ડિટેઇલ રેકોર્ડ અને મોબાઇલની ટેક્નિકલ તપાસ શરૂપોલીસ હવે કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) અને મોબાઇલની ટેક્નિકલ તપાસ શરૂ કરી છે કે હત્યા પહેલાં મહિલા કોના સંપર્કમાં હતી અને તે ગોરવાથી અંકોડિયા સુધી કેવી રીતે પહોંચી. અપહરણનો મામલો છે કે કોઈ ઓળખીતા દ્વારા મળવા બોલાવીને હત્યા કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
પ્રભાસ પાટણ ખાતે ડાયેટ ગીર સોમનાથ દ્વારા રાજ્યકક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે આયોજિત આ સ્પર્ધા નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર, વસતિ શિક્ષણ એકમ GCERTના ડૉ.અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ. પંપાણિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતના પાંચ ઝોનમાંથી પસંદ થયેલી લોકનૃત્ય અને રોલ પ્લેની પાંચ-પાંચ કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ડાયેટ પ્રાચાર્ય દ્વારા ડૉ. અવનીબા અને યોગિતા દેશમુખનું સ્મૃતિભેટ અને શાલ દ્વારા અભિવાદન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમના કન્વીનર બી. કે. મેસિયાએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે ડૉ. અવનીબાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની વિરાસત અને સંસ્કૃતિનું ગૌરવ જાળવવા સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. તેમણે બાળકોને અભ્યાસની સાથે ગમતા ક્ષેત્રમાં આગળ વધવાની તક ઝડપી લેવા અને કઠિન પરિશ્રમથી સફળતા મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. લોકનૃત્ય અને રોલ પ્લેની સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકનૃત્યમાં પી.એમ. શ્રી મોડલ સ્કૂલ માંડવા, તા. કપરાડા, જી. વલસાડ અને રોલ પ્લેમાં સરકારી માધ્યમિક શાળા પણિયાદરા, તા. વાગરા, જી. ભરૂચે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ બંને કૃતિઓ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સોમનાથની પાવન ભૂમિ પર યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત, એક થી ત્રણ નંબર મેળવનાર કૃતિઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
દીપાવલી યુનેસ્કોની અમૂર્ત ધરોહરમાં સામેલ:ગીર સોમનાથના રામમંદિરમાં રંગોળી-દીપ પ્રગટાવી ઉજવણી
દીપાવલીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ સ્થિત શ્રી રામ મંદિરમાં કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, મંદિરમાં આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી અને દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક ગૃપો દ્વારા પરંપરાગત લોકનૃત્યો રજૂ કરીને આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક ગૃપો સાથે સંકલન કરીને આ સિદ્ધિની ઉજવણી કરાઈ હતી. દીપાવલીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે. દીપાવલીનો સમાવેશ એ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર સમાન છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં પોલીસે ભૂ-માફિયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે થાનગઢ નજીક આવેલા વેલાળા ગામની સીમમાં એક ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાં ઉતરીને સઘન તપાસ હાથ ધરી હતી. આ કૂવો લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ ઓપરેશન પીઆઇ ટી.બી. હિરાણી અને તેમના પોલીસ સ્ટાફના સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે ભૂ-માફિયાઓના સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે વધુ કવાયત શરૂ કરી છે.
ગુજરાત સાયબર ક્રાઈમ સેલે SP સંજય કેશવાલાની આગેવાનીમાં રાજ્યના સૌથી મોટા 719 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મોટું ઑપરેશન હાથ ધરતા વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ પહેલા 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ ઑપરેશનમાં ઈંડસ ઈન બેંકની મહિલા બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલા ભૂમિકા જગદીશભાઈ લશ્કરીની ધરપકડ સાથે ફ્રોડના નેટવર્કના અનેક ખુલાસા થયા છે. 10 ખાતાઓ મારફતે કૌંભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતીસાયબર ક્રાઈમ સેલ અનુસાર આરોપીઓએ બેંક એકાઉન્ટ ખોલાવવા, બોગસ એકાઉન્ટ સક્રિય કરાવવા અને જુદા–જુદા લેયર દ્વારા ટ્રાન્ઝેક્શન છુપાવવા સહભાગી બન્યા હતા. ઇન્ડસ ઈન બેંકના 110 ખાતાઓ મારફતે કૌંભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. ઝડપાયેલામાં સાહિલ સંજય કુમાર નામનો આરોપી પણ સામેલ છે, જે મહિલા આરોપી ભૂમિકાનો પતિ હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલે જણાવ્યું કે, આ ગેંગ બેંકિંગ સિસ્ટમમાં ઘુસણખોરી કરીને ટ્રાન્ઝેક્શન રેકેટ ચલાવતા હતા. તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી છે અને વધુ ધરપકડની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદના ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિનોદ મિત્તલ અને ત્રિલોક પરીખના પરિવારજનો તેમજ ઓફિસિસ પર શરૂ થયેલા આવકવેરા વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. ઇન્કમટેસના અધિકારીઓને મોટા પ્રમાણમાં મિલકત અને જમીન સંબંધિત દસ્તાવેજો મળ્યા છે, તેના તથા દર દાગીનાના મૂલ્યાંકન અને તપાસ માટે અલાયદી ટીમ કામે લાગી છે. બંને ગ્રુપ સાથે સંકળાયેલા રાજ્યભરના વેપારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે, તેમની આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ દરોડા દરમિયાન હાથ લાગેલા ઇલેક્ટ્રિક ઉપકરણો તપાસાર્થે FSL ના અધિકારીઓ લઈ ગયા છે. વિનોદ મિત્તલ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાની કરચોરીકાપડ ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિ વિનોદ મિત્તલ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાની કરચોરી થઈ રહી હોવાની માહિતી આધારે મંગળવારે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગે 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સાથે જ તેમના સાથીદાર ત્રિલોક પરીખની વિવિધ પ્રીમાઇસિસ પર પણ તપાસ ચાલુ છે. આ તપાસ દરમિયાન હાથ લાગેલી વિગતોના આધારે તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ સરવાળે 50થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી સતત ત્રીજા દિવસે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ મિલકતો અને જમીનના અનેક મહત્વના દસ્તાવેજો શોધી કાઢ્યા છે. આ દસ્તાવેજો તેમ જ દર દાગીનાની વેલ્યુએશન તથા પ્રોપર્ટી વિગતોની ચકાસણી માટે ખાસ ટીમ કાર્યરત છે. વધુમાં, કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને શંકાસ્પદ ટ્રાન્જેક્શનની વિગતો પણ મળી આવી છે. આગામી દિવસોમાં બંને ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદ તથા રાજ્યના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ઇન્વેસ્ટરો સુધી તપાસનો રેલો પહોંચે તેવી સંભાવના છે.
મોરબીમાં 21 આરોપીઓ સામે સાયબર ફ્રોડના ગુના:11 પકડાયા, બેંક ખાતાધારકો પણ આરોપી બન્યા
સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા ગુનાઓ અને ગુનેગારોને રોકવા માટે સરકાર દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે બેંક એકાઉન્ટના ધારકો સહિત ફ્રોડની રકમને સગેવગે કરનારાઓ સામે પણ ગુના નોંધાઈ રહ્યા છે. મોરબીમાં છેલ્લા બે દિવસમાં સાયબર ફ્રોડના 21 શખ્સો સામે નામજોગ 5 ગુના નોંધવામાં આવ્યા છે, જે પૈકી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલ રિમાન્ડ પર છે. જુદી જુદી બેંકોના એકાઉન્ટ ધારકો તેમજ સાયબર ફ્રોડથી આવેલી રકમને સગેવગે કરનારાઓ સામે ગુનાભારત સરકારના I-4C દ્વારા હવે જે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ આવેલી હોય, તે એકાઉન્ટના ધારકો સામે ગુના નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. મોરબીમાં આવેલી જુદી જુદી બેંકોના એકાઉન્ટ ધારકો તેમજ સાયબર ફ્રોડથી આવેલી રકમને સગેવગે કરનારાઓ સામે ગુના નોંધાયા છે. તાજેતરમાં યશ મહેશભાઈ વાગડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દીપકદાસ કાંતિદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને વિરલ હિંમતભાઈ ઇસલાણીયા સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. 80.79 લાખ રૂપિયા ચેક,એટીએમથી ઉપાડી લેવામાં આવ્યાઆ ગુનાઓમાં યશ, કમલ, દીપકદાસ અને દિવ્યરાજસિંહના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ 80.79 લાખ રૂપિયા આવ્યા હતા, જેને ચેક અથવા એટીએમથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કેસમાં યશ વાગડીયા, કમલ રાણપરા, દીપકદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ જાડેજા અને આયુષરાજસિંહ જાડેજાને પકડીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગમોરબીના ડીવાયએસપી વિરલ દલવાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભેજાબાજ શખ્સો સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપવા માટે કોલેજના વિદ્યાર્થીઓને નજીવી રકમની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટના એક્સેસ મેળવી લે છે. તેઓને જીએસટી ન ભરવો પડે તેવી રકમ આવશે અથવા તો યુએસડીટી ટ્રાન્ઝેક્શનની રકમ આવશે તેવું કહીને તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે છે. સાયબર ફ્રોડ વિશે અજાણ લોકો પણ આરોપીઆ રીતે મેળવેલા બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા થાય છે, જેને ગઠિયાઓ તુરંત જ ઉપાડી લે છે. નજીવી રકમની લાલચમાં આવેલા બેંક એકાઉન્ટ ધારકો ગંભીર ગુનામાં ફસાઈ જાય છે. ઘણા યુવાનો તો ગુનાની ગંભીરતા ન જાણતા હોવાથી તેમના સંબંધીઓના બેંક એકાઉન્ટ ખોલાવીને તેના એક્સેસ પણ આ ગેંગને આપી દે છે. જેના કારણે જે લોકો સાયબર ફ્રોડ વિશે કશું જ જાણતા નથી, તેઓ પણ ગંભીર ગુનામાં આરોપી બનશે તેવો ઘાટ સર્જાયો છે.
ગુજરાતમાં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશે મહત્વનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબરથી શરૂ કરાયેલ ચકાસણી ઝુંબેશના ગણતરી તબક્કાની સમયમર્યાદા વધારી 14 ડિસેમ્બર સુધી વધારવામાં આવી હોવા છતાં 100 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયાનું અધિકૃત રીતે જણાવાયું છે. મતવિસ્તારોમાં ચકાસણીનું 100% કામ સફળતાપૂર્વક પૂર્ણરાજ્યના તમામ 33 જિલ્લાઓએ ગણતરીના તબક્કામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતાં કુલ 182 વિધાનસભા મતવિસ્તારોમાં ચકાસણીનું 100% કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા બૂથ સ્તરના BLO અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે યોજાયેલી બેઠકોના આધારે મતદારોના ભાગ પ્રમાણેની યાદીઓ જિલ્લા વેબસાઈટો તેમજ CEO ગુજરાતની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. BLO પાસે ગણતરી ફોર્મ જમા કરવાની તક પણ ઉપલબ્ધચૂંટણી પંચ દ્વારા સુનિશ્ચિત કરાયેલ સરળ વ્યવસ્થાથી મતદારો પોતાનું નામ જિલ્લા પ્રમાણે ઑનલાઈન ચકાસી શકે છે. ASD યાદીમાં નામ ધરાવતા મતદારો માટે 14 ડિસેમ્બર સુધી BLO પાસે ગણતરી ફોર્મ જમા કરવાની તક પણ ઉપલબ્ધ છે જેથી તેમની એન્ટ્રી ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થઈ શકે. 18,03,730 અવસાન પામેલ મતદારો હજુ યાદીમાં હતાગણતરીના તબક્કામાં મહત્વના તારણો પણ સામેથી આવ્યા છે. 18,03,730 અવસાન પામેલ મતદારો હજુ યાદીમાં હતા. 10,02,685 મતદારો પોતાના સરનામે મળ્યા નહીં, જ્યારે 40,34,712 લોકોએ કાયમી સ્થળાંતર કર્યાનું નોંધાયું છે. ઉપરાંત 3,76,410 મતદારો રિપીટેડ હોવાનું બહાર આવ્યું છે. આ વિશાળ ચકાસણી અભિયાન રાજ્યની મતદાર યાદીને શુદ્ધ, ચોક્કસ અને સર્વસમાવેશી બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. ચૂંટણી પંચે ફરી એકવાર ઝુંબેશનો સંદેશ સ્પષ્ટ કર્યો:'પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.'
દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવનારી મહાપાલિકા દ્વારા સંચાલિત સુમન સ્કૂલોમાં ગંદકીની ફરિયાદોને પગલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકાની તમામ 29 સુમન સ્કૂલોમાં હવે હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ગુરુવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો કોન્ટ્રાક્ટ કેવલા સિક્યુરિટી સર્વિસીસને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટોઈલેટ-બાથરૂમમાં ગંદકીની ફરિયાદો મહત્ત્વની બાબત એ છે કે, સ્કૂલોમાં સફાઈના અભાવે ખાસ કરીને ટોઈલેટ-બાથરૂમમાં ગંદકીની ફરિયાદો હતી, જે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે તેમ હોય. આ ફરિયાદોને પગલે હાઉસ કીપિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ 39.75 લાખના ખર્ચે ફાળવવામાં આવ્યો છે. પટાવાળાઓ દ્વારા જ સાફ-સફાઈની કામગીરી કરાતીમ્યુનિસિપલ કોર્પોરેશનની સુમન સ્કૂલોમાં અત્યાર સુધી પટાવાળાઓ દ્વારા જ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવતી હતી. જોકે, ઓફિસ ફરજને લગતી કામગીરીમાં વધુ સમય જતો હોવાથી નિયમિત અને યોગ્ય સફાઈ થઈ શકતી ન હતી. હાઉસ કીપિંગ સ્ટાફ મૂકવા માટે કોન્ટ્રાક્ટ સોંપાશેસ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, 39.75 લાખના વાર્ષિક ખર્ચે તમામ 29 સુમન સ્કૂલોમાં હાઉસ કીપિંગ સ્ટાફ મૂકવા માટે કોન્ટ્રાક્ટ સોંપાશે. આ સ્ટાફ રોજિંદી રીતે શાળાઓમાં વર્ગખંડોની સફાઈ, શૌચાલયોની યોગ્ય સફાઈ સહિતની જાળવણીનું કામ કરશે. હાઉસ કીપિંગ સ્ટાફ માટે ફરજિયાત બાયોમેટ્રિક હાજરીઆ કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા જાળવવા માટે એક નવી અને મહત્ત્વપૂર્ણ શરત ઉમેરવામાં આવી છે. એજન્સીએ તમામ શાળાઓમાં હાઉસ કીપિંગ સ્ટાફ માટે બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ લગાવવી ફરજિયાત રહેશે. જો એજન્સી બાયોમેટ્રિક સિસ્ટમ નહીં લગાડે તો કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે નહીં. બાયોમેટ્રિક હાજરીથી સ્ટાફ વાસ્તવમાં કેટલા વાગ્યે આવે છે અને નિયમિતપણે કામ કરે છે કે નહીં, તે પારદર્શક રીતે જાણી શકાશે. એક વર્ષ માટે મુદત લંબાવવામાં આવશેપ્રાથમિક તબક્કે આ કોન્ટ્રાક્ટ પ્રથમ એક વર્ષ માટે ફાળવવામાં આવ્યો છે. જો ઇજારદારની કામગીરી સંતોષકારક જણાશે, તો હાલના મંજૂર ભાવ મુજબ લેખિત સંમતિ મેળવી વધુ એક વર્ષ માટે મુદત લંબાવવામાં આવશે. આ પગલું શાળાઓમાં સ્વચ્છતા જાળવવા અને બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યું છે, જે મહાપાલિકાના 'સ્વચ્છતામાં નંબર વન'ના દરજ્જાને સુમન સ્કૂલોના સ્તરે પણ જાળવી રાખવામાં મદદ કરશે.
ગોધરામાં ગ્રામીણ મહિલા સહકારી મંડળીઓની રાજ્યસ્તરીય કાર્યશાળા યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2025ને 'આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ' તરીકે જાહેર કરાયું છે, જેના ભાગરૂપે આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ગોધરાના LIC રોડ પર આવેલા પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ખાતે 'આનંદી' સંસ્થા દ્વારા યોજાયો હતો. તેમાં ગુજરાતના 9 જિલ્લાના 20 તાલુકાઓમાંથી 10 જેટલી મહિલા કો-ઓપરેટિવ મંડળીઓના અગ્રણીઓ જોડાયા હતા. કાર્યશાળાનું સૂત્ર સહકારી મંડળીઓ થકી સમાન સમાજ તરફ હતું. આ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર ડી.કે. ખેર, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર રાજેશભાઈ અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારૂલબેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલા સશક્તિકરણ અને સહકારી પ્રવૃત્તિઓમાં મહિલાઓની નેતૃત્વ શક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળાનો મુખ્ય હેતુ મહિલા મંડળીઓની સિદ્ધિઓને બિરદાવવાનો, મંડળી સંચાલનમાં આવતા પડકારો પર ચર્ચા કરવાનો અને ભવિષ્યની રણનીતિ ઘડવાનો હતો. આ આયોજન આનંદી, ઉત્થાન, જનવિકાસ, પંચમહાલ જિલ્લા સહકારી સંઘ અને પાનમ મહિલા બચત ધિરાણ સહકારી મંડળીના સહિયારા પ્રયાસોથી સફળ બન્યું હતું.
VIDEO : મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિંકતા હોસ્પિટલ નષ્ટ, 34 દર્દીના મોત, 80 ઈજાગ્રસ્ત
Myanmar Airstrike : મ્યાંમારમાં સત્તા પર રહેલી સૈન્ય સરકારે બળવાખોર સંગઠનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ પર બોંબમારો કર્યો છે, જેમાં હોસ્પિટલ નષ્ટ થવા ઉપરાંત 34 દર્દીઓના મોત અને 80 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લડાકુ જેટે હોસ્પિટલ પર બોંબ ઝિંક્યો આ ઘટના પશ્ચિમી રાજ્ય રખાઇનના મ્રાઉક-યૂ ટાઉનશિપ માં બુધવારે રાત્રે 9.13 કલાકે બની હતી. અહેવાલો મુજબ, એક લડાકુ જેટે બે બોમ્બ ઝીંક્યા હતા, જેમાંથી એક સીધો હોસ્પિટલના રિકવરી વોર્ડ પર પડ્યો હતો.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળમાં મદાર-પાલનપુર રેલવે સેક્શન પર જવાલી અને રાણી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 632 પર આરએસીસી બૉક્સ લોન્ચિંગનું કામ ચાલી રહ્યું છે. આ માટે 12 ડિસેમ્બર 2025ના રોજ રેલવે બ્લૉક લેવામાં આવ્યો છે. આ બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો રદ, કેટલીકનું સમય બદલાયું છે અને કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવશે. રદ થયેલી ટ્રેનો રુટ ડાઇવર્ટેડ ટ્રેનો
કચ્છ - ભુજની 14 વર્ષની રેપ પીડિતાની ગર્ભપાતની દાદ માંગતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના નિર્દેશ મુજબ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પીડિતાની શારીરિક અને માનસિક તપાસ કરીને કોર્ટ સમક્ષ અભિપ્રાય રજૂ કરતો અહેવાલ આપ્યો હતો. જેને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંદર્ભ લેવો ફાયદાકારક રહેશે. જેમાં પીડિતા માટે 'શ્રેષ્ઠ હિત' સિદ્ધાંતને ધ્યાનમાં રાખવાને પાત્ર છે. મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલા તબીબી અભિપ્રાયને ધ્યાનમાં લેતા તેમજ અરજદાર-પીડિતાને જે આઘાત, માનસિક યાતના અને સંભવિત સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે છે તેને ધ્યાનમાં લેતા, આ કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપવાનો આદેશ કરે છે. ડોકટરો સુરક્ષિત રીતે ગર્ભપાત થાય એ સુનિશ્ચિત કરેહાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, પીડિતીની ગર્ભાવસ્થા 10 અઠવાડિયા અને 1 દિવસથી વધુ હોવાથી, કોર્ટ ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ પીડિતાની તપાસ કરવાનો આદેશ આપે છે. સાથે જ સાયકોલોજીસ્ટ ડોક્ટર્સને પણ તપાસનો નિર્દેશ આપવામાં આવે છે. ડોક્ટરોની આ ટીમ પીડિતાની તપાસ કરશે અને તેની સાથે વાતચીત કર્યા પછી તાત્કાલિક ધોરણે સર્જરીની પ્રક્રિયા હાથ ધરશે. જેમ કે ફિઝિશિયન, એનેસ્થેટિક વગેરે ડોકટરો સુરક્ષિત રીતે ગર્ભપાત થાય એ સુનિશ્ચિત કરે. જો બાળક જન્મ જીવિત હોય તો હોસ્પિટલ ખાતરી કરશેવધુમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, જો બાળક જન્મ જીવિત હોય તો હોસ્પિટલ ખાતરી કરશે કે બાળકને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવે. જેથી તે સ્વસ્થ બાળકમાં વિકાસ પામી શકે. જો પીડિતા બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય તો રાજ્ય અને તેની એજન્સીઓ સંપૂર્ણ જવાબદારી લેશે અને બાળકના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 માં કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બાળકને તબીબી સહાય અને સુવિધાઓ પ્રદાન કરશે. ડોકટરો ડીએનએ ઓળખ માટે વૈજ્ઞાનિક પ્રથાને અનુસરીને ડીએનએમાંથી જરૂરી નમૂના લેશે અને આવા નમૂનાઓ સંબંધિત તપાસ અધિકારીને સોંપવાના રહેશે.
સુરત શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાન-ગલ્લા સંચાલકો પૈસાની લાલચમાં યુવાધનના જીવન સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીમાં બહાર આવ્યું છે. હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા 'ગોગો પેપર'નું છડેચોક વેચાણ કરતા દસથી વધુ પાન ગલ્લા સંચાલકો વિરુદ્ધ SOGએ લાલ આંખ કરી છે. પોલીસે માત્ર કાયદેસરની કાર્યવાહી જ નહીં, પરંતુ યુવાધનને બરબાદ કરનારા આ સંચાલકોને સબક શીખવાડવા માટે જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવી હતી. હાઈબ્રીડ ગાંજા કેસના મૂળિયા પાન ગલ્લા સુધી પહોંચ્યાSOGની આ સમગ્ર કાર્યવાહી તાજેતરમાં પકડાયેલા હાઈબ્રીડ ગાંજાના એક મોટા કેસના પગલે હાથ ધરવામાં આવી હતી. પોલીસે થોડા સમય અગાઉ આગમ કુમાર ઉત્તમભાઈ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી 374 ગ્રામ હાઈબ્રીડ ગાંજા મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 13 લાખ કરતાં પણ વધુ હતી. આ ગાંજાનો જથ્થો કબજે કર્યા બાદ પોલીસ દ્વારા આગમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે તે શહેરમાં આવેલા અનેક પાન ગલ્લાના પાર્લરો પર હાઈબ્રીડ ગાંજો અને તેના સેવન માટે જરૂરી વસ્તુઓ સપ્લાય કરતો હતો. આ ખુલાસાને પગલે તુરંત જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શનમાં આવ્યું હતું અને આ પાન ગલ્લાઓ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. પોશ વિસ્તારોના પાન ગલ્લા પર સરપ્રાઈઝ ચેકિંગડીસીપી રાજદીપસિંહ નકુમ અને SOGના પીઆઇ અતુલ સોનારાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે શહેરના પોશ ગણાતા વેસુ, અલ્થાન, પીપલોદ અને સિટી લાઈટ વિસ્તારમાં આવેલા પાન ગલ્લાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ મુખ્ય પાન ગલ્લા સંચાલકો પર કાર્યવાહી કરાઈ: અન્ય મળીને કુલ દસથી વધુ પાન ગલ્લાના સંચાલકોને SOG ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન આ તમામ ગલ્લાઓ પરથી હાઈબ્રીડ ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા અસંખ્ય ગોગો પેપર મળી આવ્યા હતા, જેનું વેચાણ ખુલ્લેઆમ થતું હતું. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ બનતા હતા શિકારપૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ પાન ગલ્લા પાર્લરો પર શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગોગો પેપર લેવા માટે આવતા હતા. પૈસાની લાલચમાં આ સંચાલકો યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેની સહેજ પણ ચિંતા કર્યા વિના નશાના આ સાધનોનું વેચાણ નિર્ભયતાથી કરી રહ્યા હતા. યુવાનોમાં નશાની લત વધારવામાં આ પાન ગલ્લાઓ એક પ્રકારના ડ્રગ સ્પોટ બની ગયા હતા. SOG ઓફિસમાં ‘ઉઠક-બેઠક’ કરાવી સબક શીખવાડ્યોSOGએ તમામ પાન ગલ્લા ચલાવનાર સંચાલકોને સખત ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ યુવાધનને બરબાદ કરનારા આવા ગોગો પેપરનું વેચાણ ન કરે. SOGની આ કડક કાર્યવાહી અને ચેતવણીની અસર સંચાલકો પર સ્પષ્ટ જોવા મળી હતી. એસઓજીની ઓફિસમાં જ તમામ સંચાલકોને કાન પકડાવીને માફી મંગાવવામાં આવી હતી. તમામ સંચાલકોએ કબૂલાત કરી કે તેઓ પૈસાની લાલચમાં ગોગો પેપર વેચતા હતા અને હવે તેઓ આ ભૂલ નહીં કરે. ગોગો પેપર નહીં વેચવાની અને યુવાધનને એકઠા ન કરવાની પ્રતિજ્ઞાવધુમાં, તમામ સંચાલકોએ કાન પકડીને ખાતરી આપી હતી કે તેઓ માત્ર ગોગો પેપરનું વેચાણ બંધ નહીં કરે, પરંતુ પોતાના ગલ્લા પર શાળા કે કોલેજના વિદ્યાર્થીઓને બિનજરૂરી રીતે એકઠા પણ નહીં થવા દે. આટલેથી ન અટકતા, નશાના વ્યાપારને પ્રોત્સાહન આપવા બદલ અને યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ, SOG દ્વારા તમામ સંચાલકોને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવીને સબક શીખવાડવામાં આવ્યો હતો. નશાના રવાડે ચડાવવાની ગતિવિધિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસપોલીસે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી માત્ર કાયદાકીય નથી, પરંતુ સામાજિક જવાબદારીનો ભાગ છે, જેથી અન્ય વેપારીઓ પણ આવા ગેરકાયદેસર અને અનૈતિક વેચાણ કરતા ડરે. પોલીસના આ અનોખા ઓપરેશનથી શહેરના પોશ વિસ્તારોમાં ચાલતી યુવાધનને નશાના રવાડે ચડાવવાની ગતિવિધિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. SOGએ આ સમગ્ર નેટવર્કની ઊંડી તપાસ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
શહેરના નવા નરોડા વિસ્તારમાં વાનરોનો આતંક સામે આવ્યો છે. બે દિવસમાં 8થી 10 લોકોને વાનર કરડી જતા તેઓને સારવાર લેવી પડી છે. આઠ વર્ષની બાળકીથી લઈને મોટી ઉંમરના લોકોને વાનર કરડતાં લોકોમાં ભય ફેલાયો છે. ફ્લેટ અને સોસાયટી ઉપરાંત રોડ ઉપર અવર-જવર કરતા લોકો ઉપર આ વાનરની ટોળકી હુમલો કરતી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે બે જેટલા વાનરોને પકડવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે હજી પણ વાનરોનો આતંક યથાવત રહેતા લોકોમાં ભારે ગભરાહટ અને ભયનો માહોલ જોવા મળ્યો છે. 8થી 10 લોકોને વાનરે બચકાં ભર્યાનવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ પાસે આવેલા શુકન એપાર્ટમેન્ટ અને મહારાણા પ્રતાપ ગાર્ડનની આસપાસના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વાનરોનું ટોળું આવ્યું છે અને બે દિવસથી વાનરો દ્વારા લોકો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. 8થી 10 લોકોને વાનર કરડી ગયું હતું જેના કારણે થઈને લોકોમાં ખૂબ જ ભાઈનો માહોલ ફેલાયો છે. શુકન એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈએ જણાવ્યું હતું કે, મારા 15 વર્ષના દીકરાને વાનરે કરડી ખાધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો અને 10,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. મારા જ ફ્લેટમાં નાની બાળકી અને એક યુવકને પણ વાનર કરડ્યો હતો. હુમલો કરનારા વાનરોને રેસ્ક્યુ કરવા માગમહારાણા પ્રતાપ ગાર્ડનની આસપાસમાં પ્લોટમાં મોટી સંખ્યામાં વાનરોનું ટોળું બેસી રહે છે અને ત્યાંથી પસાર થતા લોકો ઉપર હુમલો કરે છે. થોડા દિવસ પહેલા વોચમેન ઉપર હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ અલગ અલગ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. લોકોએ સારવાર લેવી પડી છે અને હવે ઘરની બહાર અવરજવર કરતાં ડર લાગી રહ્યો છે. લોકોએ પોતાના ઘર બંધ રાખવા પડે છે અને સાચવીને નીકળવું પડે છે કારણ કે ગમે ત્યારે વાનરોનું ટોળું અથવા વાનર આવીને હુમલો કરી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે વન વિભાગની ટીમ આ જગ્યા ઉપરથી તમામ વારનારોને પકડી અથવા હુમલો કરનારા વાનરોને ત્યાંથી રેસ્ક્યુ કરે તેવી માગ કરી છે.
ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી ભાર્ગવને 108 મારફત તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવ ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું અને તેના પિતા મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. યુવક સરધાર કોઈ કામસર આવ્યો હતો અને પછી સરધારથી પોતાના ગામ સરગામ જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આજીડેમ પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો ઈર્શાદ ફિરોઝભાઈ કુરેશી (ઉં.વ.35) ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. ઈર્શાદએ આરોપ કર્યો હતો કે 3 મહિના પહેલા આસિફ, યાસીન, અને કુલદીપએ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા હતા. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી આ પછી આઠ દિવસ પહેલા ધોકા અને પાઇપ લઈને ઘસી આવેલા શખ્સો દ્વારા હુમલાની કોશિશ થઈ હતી. ત્યારે પોલીસને બોલાવવામાં આવી હતી. આમ, ઘણા દિવસોથી યુવાન અને તેના પરિવારને ત્રણ શખ્સો દ્વારા ધમકીઓ આપતા હોવાથી હુમલાની ભીતિ હોવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પીધું હતું જેને લઇ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી જવા પામી હતી. ફાકી લેવાનું કહી ઘરેથી નીકળી ગુમ થયેલા રેલવે વિભાગના પોસ્ટમેનનો રેલવેટ્રેક ઉપરથી મૃતદેહ મળ્યો જામનગર રોડ પર લોકો કોલોની યાર્ડ પાસેથી ટ્રેનની ઠોકરે કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મૃતકની ઓળખ થતાં તે જામનગર રોડ પર રેલવે લોકો કોલોની ક્વાર્ટર નં.14એમાં રહેતાં વિનોદભાઈ પારસલાલ આહુજા (ઉ.વ.39) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક વિનોદભાઈ રાજકોટ રેલવે સ્ટેશનમાં ટ્રાફીક વિભાગમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં હતાં. વિનોદભાઈ તા.9ના સાંજે ઘરેથી ફાકી લેવા જવાનું કહી નીકળ્યા હતાં અને પરત નહીં આવતાં તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ હોય જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક એક ભાઈ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોમાસા દરમિયાન મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખો વૃક્ષો વવાતા હોય છે તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ અધિકારીઓ ખર્ચના નામે કૌભાંડ કરતા હોય એવા જ એક કૌભાંડ થાય તેના પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કૌભાંડને રોકી દેવામાં આવ્યું છે. મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખ વૃક્ષો વાવવાની કામગીરીમાં મેન્ટેનન્સ સાથે ટેન્ડર આપવામાં આવ્યું હોવા છતાં પણ ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષોના મેન્ટેનન્સ માટે ફરીથી 26 કરોડ રૂપિયાનું ટેન્ડર કરવામાં આવતા ટેન્ડર રદ કરવા માટે ગાર્ડન વિભાગના અધિકારીઓને ચેરમેન દ્વારા સૂચના આપવામાં આવી હતી. કરોડો રૂપિયાનું એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુંસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખ વૃક્ષો વાવવા માટે એજન્સીઓને કામ આપી તેમની પાસે 21 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે પેટે રૂ. 69 કરોડ ચુકવવાનો નિર્ણય થયો હતો. જે તે સમયે આટલો મોટો ખર્ચ અંગે પણ વિવાદ થયો હતો, પરંતુ એજન્સીને 2 વર્ષ સુધી આ વૃક્ષનું ધ્યાન રાખી તેને પિયત કરવા, જાળવણી અને પ્રોગેસ કરવાની પણ જવાબદારી પણ આપવામાં આવી હતી. જોકે ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા લાખો વૃક્ષોની જાળવણી માટે ફરી એકવાર કરોડો રૂપિયાનું એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આ કામગીરી માટે રૂ. 26 કરોડથી વધારેનો ખર્ચ થવાનો હતો. કૌભાંડ થાય તે પહેલા જ ટેન્ડરને રદ કરી દેવામાં આવ્યુંવૃક્ષોના મેન્ટેનન્સ કરવા માટે થઈને આ પ્રકારનું ટેન્ડર કરવામાં આવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ધ્યાને આવ્યું હતું. આ બાબતે ગાર્ડન વિભાગ દ્વારા કોઈ કૌભાંડ થાય તે પહેલા જ સ્ટેન્ડિંગ કમિટિમાં જ આ મામલે વિવાદ થતાં મ્યુનિ. કમિશનરને ચેરમેન દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ ટેન્ડરને રદ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂ. 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડ દ્વારા કુલ રૂ. 1,05,12,52,826/- (એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ રૂપિયા) મેળવ્યા હતા. આ નાણાં ચેક દ્વારા ઉપાડી તેઓ કમિશન મેળવતા હતા. સમન્વય પોર્ટલ પરથી બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તપાસના આધારે શુભમ હરિહર ડાભી (ઉં.વ. 29, રહે. સાગર સિટી, મુંદ્રા રોડ, ભુજ)નું નિવેદન લેવામાં આવ્યું હતું. પુરાવા મળતા, સરકાર વતી ફરિયાદી બનીને શુભમ હરિહર ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ (રહે. હિરાની નિવાસ, છાડુરા, તા. અબડાસા, કચ્છ) અને ભાવિક (HDFC બેંકના કર્મચારી, રહે. ભુજ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી તેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2010 થી 2015 સુધીમાં બેકલોગ બાકી રહેલા એટલે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવા માટેની છેલ્લી તક સ્વરૂપે પરીક્ષા વિભાગ દ્વારા એક્ઝામનું શિડયુઅલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સ્નાતક કક્ષાએ સેમ.5 અને 6 તો અનુસ્નાતક કક્ષાએ સેમ. 3 અને 4 માટેની પરીક્ષા આગામી તા.26 મી ડિસેમ્બરથી શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડયુઅલ મુજબ આર્ટસ ફેકલ્ટીમાં BA, BSW અને બી.એ હોમ સાયન્સ માં સેમ.5 અને 6 તેમજ એમ.એ, એમ.એસ.ડબલ્યુ, એમ.એલ.ડબલ્યુમાં સેમ.3 અને 4 વિધાર્થીઓની પરીક્ષા સવારે 10.30 થી 1 અને બપોરે 2.30 થી 5 વાગ્યા સુધી ચાલશે. આ જ રીતે કાયદાના કોર્સમાં એલ.એલ.બી.સેમ.5 અને 6 તેમજ બી.એ.એલ.એલ.બી.સેમ.5 અને 7ની પરીક્ષા પણ તા.26 મીથી શરૂ થશે. આ ઉપરાંત બિઝનેસ મેનેજમેન્ટમાં BBA સેમ.5 અને 6ની તો કોમર્સમાં બીકોમ અને એમ.કોમ.માં સેમ.3,4,5 અને 6ની પરીક્ષા પણ લેવામાં આવશે.સાયન્સ ફેકલ્ટીમાં બી.સી.એ., બીએસ.સી, બીએસ.સી આઈ ટી, એમએસ.સી., એમએસ.સી. આંકડાશાસ્ત્ર, એમએસ.સી.આઈ.ટી.માં સેમેસ્ટર -3,4,5 અને 6 તો પરફોર્મન્સ આર્ટસમાં બીપીએ અને એમપીએમાં માં સેમ.3,4,5 અને 6, હોમ સાયન્સમાં બીએસસી એચ.એસ., એમએસ.સી. એચ.એસ. સેમ.3 થી 6 અને રૂરલ સ્ટડીઝમાં અગાઉના નાપાસ થયેલા પણ પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષા તા.26 ડિસેમ્બરથી શરૂ થશે તો B. ED. ની પરીક્ષા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. તેમજ આ પરીક્ષાનું કેન્દ્ર યુનિવર્સિટી કેમ્પસના કોઈ પણ ભવનમાં રહેશે. તેમજ આ પરીક્ષાઓનું પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવશે નહીં તેવું પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બેકલોગ ક્લિયર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ મહિનામાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ કોઈ ઉમેદવારોને પરીક્ષા ફોર્મ ભરવાનું બાકી રહી હોય તો તેઓ તાત્કાલિક કોલેજ ખાતે પહોંચી ફોર્મ ભરી શકશે. જે બાદ 13 ડિસેમ્બરના બપોરે 3:30 વાગ્યા સુધીમાં કોલેજના કર્મચારી દ્વારા પરીક્ષા વિભાગ 1 માં વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી, લેટ ફી અને પેનલ્ટી ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે.
જુનાગઢમાં ધોરાજી ચોકડી પાસે આજે સાંજના સમયે એક મોટી આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. એક ખાલી ટેન્કર અને તેની નજીક પડેલા ફેબ્રિકેશનના સામાન વચ્ચે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સ્પાર્ક થવાથી આગે લાગી હતી.આ ઘટનામાં કેબિન અને નજીક આવેલું વીજળીનું ટ્રાન્સફોર્મર પણ આગની ઝપેટમાં આવી જતાં ધડાકાભડાકા થવા લાગ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ધોરાજી ચોકડી નજીક ફેબ્રિકેશન યુનિટ પાસે ટેન્કર રિપેરિંગ માટે ઊભું હતું જ્યારે વેલ્ડિંગનું કામ ચાલુ હતું, ત્યારે તેમાંથી નીકળેલા સ્પાર્કને કારણે આગ લાગી ગઈ હતી. કેબીનમાં આગ લાગવાથી આગ ઝડપથી પ્રસરી કે તેણે બાજુમાં રહેલા વીજ ટ્રાન્સફોર્મરને પણ પોતાની લપેટમાં લઈ લીધું હતું. ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે એક પછી એક જોરદાર ધડાકા થવા લાગ્યા, જેનાથી આસપાસના વિસ્તારના લોકો ગભરાઈને દૂર ભાગ્યા હતા. આ ધડાકાને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ જુનાગઢ ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને લગભગ 2000 લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઈટર્સની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. PGVCL અને ફાયર વિભાગ દ્વારા સમયસર લેવાયેલા પગલાંને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
રાજકોટ સમાચાર:રાજકોટના હાર્દસમા સર્વેશ્વર ચોકમાં ગંદકી અને દબાણનો ત્રાસ: વેપારીઓમાં રોષ
રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાનું કામ પૂર્ણ થયાને મહિનાઓ વીત્યા હોવા છતાં ગંદકીની સમસ્યા જૈસે થે જોવા મળી રહી છે. કરોડો રૂપેિયાના ખર્ચે બનેલા આલીશાન શો-રૂમની બિલકુલ સામે બાંધકામ વેસ્ટ અને કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ મહિનાઓ સુધી વોકળાનું કામ ચાલવાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, ત્યારે હવે કામ પૂરું થયા પછી પણ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આળસ દાખવવામાં આવતા રોષ વ્યાપ્યો છે. ઉપરાંત, સર્વેશ્વર ચોક ખાતે પાર્કિંગ માટેની જગ્યામાં ખાણી-પીણીના સ્ટોલધારકોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અને શિવમ બિલ્ડીંગના પ્રમુખ દ્વારા મહાપાલિકાને તાત્કાલિક આ દબાણો હટાવવામાં આવે અને કચરાનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે. મનપાના વાહન ચાલકનીબેદરકારી, લીમડા ચોકે સેફટી ટેન્કરે બાઈક સવાર યુવાનોને ઠોકરે લીધા રાજકોટમાં થોડા મહિલા પહેલા રાજકોટ મહાનગર પાલિકાની સિટી બસે સિગ્નલ બંધ હતું, ત્યારે પુુરપાટ ઝડપે ચલાવી અનેક વાહનોને હડફેટે લઈ 4 લોકોના મોત નિપજાવ્યા હતા. આવો બનાવ બનતા આજે સહેજમાં અટકયો છે. જેમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ રાજકોટના લીંમડા ચોકમાં ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોવાથી બાઈક સવાર બે યુવાનો નિયમનું પાલન કરતા સ્ટોપ લાઈન પાસે ઉભા હતા.બાઈક ઉભું ત્યાં પાછળથી રાજકોટ મનપાને સેફટીક ટેન્ક ટ્રક પુરઝડપે આવ્યો અને બાઈકને હટફેટે લેતા બાઈક પર બેઠેલા બંને યુવાનો જમીન પર ફસડાઈ પડયા હતા. દરમિયાન અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાજકોટ એસટી વિભાગને વધુ 14 નવી બસો ફાળવાઈ રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે. અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દીધી છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તાજેતરમાં સેન્ટ્રલ ઓફીસે જે 14 બસો રાજકોટ વિભાગને ફાળવી છે. તેમાં વાંકાનેર ડેપોને 4, ગોંડલને 2, લીંબડીને 2, જસદણને 1, રાજકોટ ડેપોને 4, તથા સુરેન્દ્રનગર ડેપોને એક નવી બસની ફાળવણી કરવામાં આવી છે. એસ.ટી. વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ નવી બસો રાજકોટથી અમદાવાદ, ભાવનગર અને સુરત રૂટ ઉપર દોડશે. તથા ગોંડલથી અંબાજી અને ભૂજ તેમજ જસદણથી સુરત-જાલોદ અને સુરેન્દ્રનગરથી અમદાવાદ, માંડવી અને પાવાગઢ રૂટ ઉપર ઉપરાંત વાંકાનેરથી ડુમાકા, ગાંગડી, ગોંડલથી જાલોદ અને લીંબડીથી નારાયણ સરોવર રૂટ ઉપર નવી બસો જોવા મળશે.
અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ સ્થાન નથી, અહીં ભાજપ અને કોંગ્રેસ જ બે મુખ્ય પક્ષો છે. મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ અને આગામી ચૂંટણીઓ અંગે નિવેદનો આપ્યા હતા. ફૈઝલ પટેલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે જીગ્નેશ મેવાણી તેમના નજીકના મિત્ર છે અને એક ક્રાંતિકારી નેતા છે, જેમના જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ કરી શકતી નથી. તેમણે ઉમેર્યું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને દારૂ-ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે. આમ આદમી પાર્ટી અંગે ફરીથી નિવેદન આપતા ફૈઝલ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં AAPનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે ગુજરાત ભાજપ અને કોંગ્રેસનો ગઢ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દઢાલ ગામમાં આ કોમ્યુનિટી હોલનું નિર્માણ મર્હુમ સાંસદ અહેમદ પટેલના આર્થિક સહયોગથી ટાઈગરતીહ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ હોલનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયાના સક્રિય ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા વહીવટી તંત્રના વિકાસલક્ષી કાર્યો અને સરકારની કલ્યાણકારી યોજનાઓને પ્રજાજનો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો હતો. કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, આજના યુગમાં સોશિયલ મીડિયા સરકારી યોજનાઓને ગ્રાસરૂટ લેવલ સુધી ઝડપથી પહોંચાડવા માટે અત્યંત અસરકારક માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે, નાગરિકો સાથે સીધી વાતચીત, તેમનો પ્રતિસાદ અને રજૂઆતો પણ સોશિયલ મીડિયા દ્વારા વધુ સરળતાથી મેળવી શકાય છે. આ બેઠકમાં મુખ્યમંત્રી કાર્યાલયના એ.પી.આર.ઓ. વિવેક ત્રિવેદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ મીડિયાનો જવાબદાર, સકારાત્મક અને સુવ્યવસ્થિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા સોશિયલ મીડિયા નોડલ જેમિની ગઢિયાએ વિભાગોને તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય રાખવા, સમયસર અપડેટ્સ આપવા અને જિલ્લાની સોશિયલ મીડિયા ડિરેક્ટરી અંગે માહિતી આપી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ડી.આર.ડી.એ.ના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર. પરમાર સહિત આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પંચાયત, માર્ગ અને મકાન જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ DDO એ કુંડળ ગામની મુલાકાત લીધી:વિકાસ કાર્યો, સ્વચ્છતા અને શૈક્ષણિક સંસ્થાઓની સમીક્ષા કરી
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ બરવાળા તાલુકાના કુંડળ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ પંચાયત કચેરી અને ગામની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામના વિકાસ, સ્વચ્છતા, પોષણ અને શૈક્ષણિક સંસ્થાઓનું સ્થળ પર અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપવાનો હતો. ગ્રામ પંચાયત કચેરી ખાતે, DDO એ ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. તેમણે વેરા વસૂલાતની સ્થિતિ, મફત પ્લોટ વિતરણ અને ગામતળ નીમ યોજના અંગે વિગતો મેળવી. પંડિત દીનદયાળ આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બાંધકામની પ્રગતિનું પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું. ગામમાં CCTV કેમેરા સ્થાપન અંગે પણ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન, તેમણે સ્વચ્છતા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. કુપોષિત બાળકોનું વજન અને તેમની પોષણ સ્થિતિની ચકાસણી કરી, તેમજ THR દ્વારા FRSની વિતરણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું. આંગણવાડી કર્મચારીઓને પોષણ સંગમ એપ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની મુલાકાતમાં વિદ્યાર્થીઓની નિયમિતતા, મધ્યાહન ભોજનની ગુણવત્તા અને શિક્ષકોની હાજરી જેવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. ધોરણ 1 થી 5ના નાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા પાસેના સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા અંગે કાર્યપાલક ઈજનેર સાથે ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં, જિલ્લા વિકાસ અધિકારીએ બરવાળા તાલુકા પંચાયત કચેરીના રિપેરિંગ કામની મુલાકાત લીધી. તેમણે જરૂરી સૂચનો આપ્યા અને સ્ટાફ સાથે સંવાદ કર્યો. આ મુલાકાત દરમિયાન બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી કે.બી. પટેલ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઓઢવ વિસ્તારમાં સગીરા સાથે બળજબરીથી લગ્ન અને શારીરિક સંબંધના કેસમાં આરોપીની સજા ફટકારવામાં આવી છે. સ્પે. પોક્સો કોર્ટે આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારી છે. તેમજ સગીરાના બાળ લગ્ન કરાવનાર માતા-પિતા અને અન્ય જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, બાળ લગ્ન પર પ્રતિબંધક ધારાની કલમ 10 મુજબનો ગુનો થાય છે. ઓઢવ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારીને આ ગુના માટે અન્ય કોઈ જવાબદાર જણાય તો તેઓ વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. તેમજ અધિકારીને તપાસ પૂર્ણ કરી સક્ષમ અદાલતમાં રિપોર્ટ રજૂ કરવો. મહત્વનું છે કે કોર્ટમાં બળાત્કાર કેસમાં આરોપી યુવકને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. જેને ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને એક વર્ષની સજા કરવામાં આવી છે. અર્ધનગ્ન ફોટા અને વીડિયો મોબાઈલમાં પાડી દીધા 17 વર્ષની સગીરાની સગાઈ તેના વિસ્તારમાં રહેતા એક એક યુવક સાથે કરવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર લગ્ન કરવા જેટલી ન થઈ હોવાથી લગ્ન કર્યા નહોતા. જેથી સગાઈ બાદ એકવાર સગીરાને યુવક તેના ઘરે લઈ ગયો હતો અને અર્ધનગ્ન ફોટા અને વીડિયો મોબાઈલમાં પાડી દીધા હતા. જે બાદ યુવકે ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. જેથી સમાજના લોકોની ઉપસ્થિતિમાં 15 જૂન 2021ના લગ્ન કરવામાં આવ્યા હતા. સગીરાની મરજી વિરુદ્ધ યુવક શારીરિક સંબંધ બાંધતો હતોજે બાદ સગીરાની મરજી ન હોવા છતાં યુવક શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી થોડા જ દિવસમાં સગીરા પોતાના ઘરે પરત આવી ગઈ હતી. જે બાદ પણ યુવકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવી એક વર્ષની સજાકેસ દરમિયાન સરકારી વકીલ કમલેશ જૈન અને ડીએમ ઠાકોરે પુરતા સાક્ષી તપાસી કોર્ટને જણવ્યું હતું કે, આરોપી સામે કેસ પુરવાર થાય છે. સગીર હોવા છતા લગ્ન કર્યા બાદ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારે આરોપીને યોગ્ય સજા થવી જોઈએ. કોર્ટે બળાત્કાર કેસમાં આરોપીને નિર્દોષ છોડ્યો હતો, પરંતુ ચાઇલ્ડ મેરેજ એક્ટમાં દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારી છે. ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી તરફે રજૂ કરાયેલા લગ્નના દસ્તાવેજોથી જ ભોગ બનનાર સાથે બાળલગ્ન થયાની હકીકત રેકર્ડ પર સ્પષ્ટ થાય છે.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી(PDEU)માં આજે 13મો કોન્વોકેશન ઉત્સાહભેર યોજાયો હતો. કોન્વોકેશનમાં કુલ 2,195 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા જેમાં 41 પીએચડી વિદ્વાનો અને મેરિટ મેડલ વિજેતાઓનો પણ સમાવેશ થાય છે. ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતાં.જ્યારે PDEUના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણીની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓ, માતાપિતા અને કેમ્પસના શૈક્ષણિક સમુદાયને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. મુકેશ અંબાણીએ વિઘાર્થીઓને કહ્યું, AIના યુગમાં સાચો લીડર એ છે જે સાચા પ્રશ્નો પૂછે.સુધીર મહેતાએ વિદ્યાર્થીઓને ત્રણ મંત્રો આપ્યા હતા. 'AIના યુગમાં જવાબો કરતા પ્રશ્નો વધુ મહત્વના'ગાંધીનગરમાં પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના 13મા કન્વોકેશનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતના ટેક્નોલોજીકલ ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત આજે વિકાસના નિર્ણાયક તબક્કે છે અને હવે દેશને ક્રિટિકલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નવી ઊર્જા જેવા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે. આ રેસમાં જોહ જીતે વ્હી સિકંદર અને મોદીજીના ડાયનામિક નેતૃત્વ હેઠળ ભારત જીતશે, ભારત આગળ વધશે અને દુનિયા બદલી નાખશે, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું. AIના યુગમાં જવાબો કરતા પ્રશ્નો વધુ મહત્વના હોવાનું કહી તેમણે યુવાઓને મોટા સપના જોવા અને સતત જિજ્ઞાસુ રહેવા પ્રેરિત કર્યા. ChatGPT જવાબ આપી શકે છે, પરંતુ સાચા પ્રશ્નો તમે જ પૂછવાના એમ તેમણે ઉમેર્યું. સુધીર મહેતાએ વિદ્યાર્થીઓને ત્રણ મંત્રો આપ્યાઆ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતાએ કહ્યું કે, આ ડિગ્રી વર્ષોની તપસ્યાનું ફળ છે. PDEUની શરૂઆત 2007માં ત્યારેના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલા દ્રષ્ટિવંત પ્રયાસથી થઈ હતી અને આજે તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતું મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી બની ગયું છે. તેમણે વિદ્યાર્થીઓને જીવન માટે ત્રણ માર્ગદર્શક સૂત્ર આપ્યા આત્મનિર્ભરતા, વિશાળ વિચાર, અને ટેક્નોલોજી સાથે મૂલ્યોનું સંતુલન. ટેક્નોલોજી શક્તિ આપે છે, પરંતુ મૂલ્યો દિશા આપે છે, એમ તેઓએ સંદેશ આપ્યો. 2026માં 2+2 આંતરરાષ્ટ્રીય B.Tech પ્રોગ્રામ શરૂPDEUના ડિરેક્ટર જનરલ પ્રોફ. સુન્દર મનોહરણે વાર્ષિક અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે, યુનિવર્સિટીએ આ વર્ષે અનેક ઉત્તમ સિદ્ધિઓ નોંધાવી છે. NIRF રેન્કિંગમાં PDEU એન્જિનિયરિંગમાં 98મું, મેનેજમેન્ટમાં 89મું અને ઈનોવેશન કેટેગરીમાં દેશના ટોચના 50 સંસ્થાઓમાં સ્થાન પામી છે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2025માં 851–900 બેન્ડમાં PDEUની પ્રથમ એન્ટ્રી નોંધાઈ છે. ઉપરાંત ત્રણ B.Tech પ્રોગ્રામને NBA તથા Washington Accord એક્રેડિટેશન મળ્યું છે. તેમણે 2026થી શરૂ થનારા 2+2 આંતરરાષ્ટ્રીય B.Tech પ્રોગ્રામ (University of Tulsa, USA)ની જાહેરાત કરી. 2,000 મહિલાઓ અને યુવાઓને સોલાર ટેકનિશિયનની તાલીમપ્રોફ. મનોહરણે ગુજરાતનું પ્રથમ અકાડેમિક BSL-3 લેબ, સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશન, અને ઇન્ડો–ઓસ્ટ્રેલિયા સોલાર રૂફટોપ એકેડેમી જેવી મહત્વપૂર્ણ પહેલોની વિગતો આપી. USD 1 મિલિયન ગ્રાન્ટથી શરૂ થઈ રહેલી આ એકેડેમી આગામી બે વર્ષમાં 2,000 મહિલાઓ અને યુવાઓને સોલાર ટેકનિશિયન તરીકે તાલીમ આપશે. PDEUનું નવા ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા 2027માં લોન્ચ થનારા ભારત સેટેલાઇટને ટ્રેક કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે, જેનાથી યુનિવર્સિટી સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રે પણ અગ્રણીઓમાં સામેલ થઈ છે. સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને સોલાર ટ્રેનિંગ એકેડેમીકન્વોકેશન દરમિયાન મહાનુભાવો BSL-3 લેબ, સેમિકન્ડક્ટર ફ્રન્ટએન્ડ ફેબ સુવિધા અને સોલાર ટ્રેનિંગ એકેડેમીની મુલાકાતે ગયા. સમગ્ર કાર્યક્રમનું વેબકાસ્ટ પણ કરવામાં આવ્યું. PDEUએ ઊર્જા, ટેક્નોલોજી, ઈનોવેશન અને વૈશ્વિક શિક્ષણના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે અને આજે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને જ્ઞાન અને ઈનોવેશનના એમ્બેસેડર તરીકે અભિહિત કરવામાં આવ્યા.
અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ટ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો જેમાં 25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા, 26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ, 27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે. જ્યારે 29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો, 30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી અને 31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોAMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે. AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે. મહિલાઓ-બાળકો માટે અલગ અલગ સેશન અને કાર્યક્રમો26 ડિસેમ્બરથી ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ પર્ફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ, જાદુગરના શો અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે. વિખૂટા પડેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરાશેકાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ હાજર રહેશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશેવધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ ઉદ્ધાટનની સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેનાથી લોકોને સુખ સુવિધામાં વધારો થશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જુનાગઢને બાયોટેકનોલોજી ક્ષેત્રનું કેન્દ્ર બનાવતા બે મહત્વપૂર્ણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિશનના ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 12 અને 13 ડિસેમ્બરના રોજ ધ ફર્ન રિસોર્ટ ખાતે યોજાનાર આ સેમિનારોનો મુખ્ય હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાનનું આદાન-પ્રદાન, જાગૃતિ અને સહકાર વધારવાનો છે. આ કાર્યક્રમોમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, સંશોધકો, કૃષિ-બાગાયત વિભાગના નિષ્ણાતો અને વન્યજીવન સંરક્ષણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બર: વન્યજીવન સંરક્ષણ અને વ્યવસ્થાપનતા. 12મી ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ કાર્યક્રમ Harnessing Biotechnology for Wildlife Conservation Management વિષય પર આયોજિત થશે. આ સેમિનારમાં આધુનિક બાયોટેકનોલોજી સાધનોનો ઉપયોગ કરીને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતો બાયોટેકનોલોજી દ્વારા જિનેટિક વિવિધતાનું મૂલ્યાંકન, મૉલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને હેબિટેટ મેનેજમેન્ટ સંબંધિત નવીન અભિગમો રજૂ કરશે. આ ચર્ચાઓમાં જૈવવિવિધતા સંરક્ષણના પ્રયત્નોને કેવી રીતે વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય તેના પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે, જે ગીરના જંગલ જેવા મહત્વપૂર્ણ વન્યજીવન વિસ્તારો ધરાવતા જુનાગઢ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 13 ડિસેમ્બર: બાગાયત અને ફળ ઉત્પાદન ક્ષમતામાં વધારો તા. 13મી ડિસેમ્બર બીજો કાર્યક્રમ યોજાશે જેમાં Biotechnology for Horticulture Growth: Strengthening Fruit Productivity in Gujarat વિષયક હોર્ટીકલ્ચર કેન્દ્રિત યોજાશે. આ કાર્યક્રમ ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે.આ સેમિનારમાં કેરી સહિતના ફળ પાકોની ઉત્પાદનક્ષમતા વધારવા, ગુણવત્તાવર્ધક કૃષિ તકનીકો અને બાયોટેક આધારિત નવીન ઉકેલો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યત્વે કેરી અને નાળિયેર જેવા પાકોમાં થતા રોગો, તેના કારણો અને પાક પરના પ્રભાવની વિગતો રજૂ થશે. નિષ્ણાતો પાકના નુકસાનને ઘટાડવા માટેના જિનેટિક સુધારા દ્વારા ઉકેલો તેમજ યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવશે, જેથી ખેડૂતો પાકના નુકસાનને ઓછું કરીને કિંમતમાં વધારો કરી શકે. GSBTMની સહાયક યોજનાઓ અને અન્ય સંસ્થાઓ GSBTM ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આ તકે બાયોટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત GSBTMની અન્ય પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, GSBTM એ ગુજરાતમાં બાયોટેકનોલોજીના વિકાસ માટેની નોડલ ઓફિસ છે, જે સંશોધન સહાય, ઉદ્યોગો માટેની સહાય, અને માનવબળના વિકાસ માટે નાણાકીય સહિત વિવિધ પ્રકારની સહાય પૂરી પાડે છે. મિશન ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (નેચરલ ફાર્મિંગ) માટે બાયોટેક દ્વારા નેટવર્ક રિસર્ચ કાર્યક્રમ હેઠળ રીસર્ચ સપોર્ટ સ્કીમ (RSS) મારફતે સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય આપીને નેચરલ ફાર્મિંગને સક્રિય રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ ઉપરાંત, તેમણે યુવાઓને સંશોધિત ઉદ્યોગો સ્થાપવા માટેની નાણાકીય સહાય યોજનાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર (GBRC) વિશે માહિતી આપતાં જણાવ્યું કે આ સેન્ટર કેન્સર અને પ્રદૂષણ સહિત સમાજને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે. સાથે જ, ગાંધીનગર ખાતે કાર્યરત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિશ્વની પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે, જેનું યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે સહયોગ છે અને તેમાં PG તથા PhD માટેનો અભ્યાસક્રમ કાર્યરત છે. GSBTM દ્વારા આયોજિત આ બંને કાર્યક્રમો જૈવવિવિધતા સંરક્ષણ અને કૃષિ-બાગાયત વિકાસને નવા દિશાનિર્દેશ આપશે અને ગુજરાતને બાયોટેકનોલોજીના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
નળખંભામાં ગેરકાયદે કોલસાના 4 કૂવા ઝડપાયા:16.71 લાખનો મુદ્દામાલ જપ્ત, સરપંચ-તલાટી સામે પણ કાર્યવાહી
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સર્વે નંબર 104 અને 151 વાળી જમીનમાં ગેરકાયદેસર કોલસાના ચાર કૂવાઓ પર કોલસાનું ખનન, સંગ્રહ, વહન અને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન, તંત્રએ કુલ રૂ. 16,71,000/- (સોળ લાખ એકોતેર હજાર) નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો અને સાધનોમાં બે ટ્રેક્ટર, એક જનરેટર મશીન, બે કોમ્પ્રેસર મશીન, એક બાઇક, 30 નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ અને ત્રણ ચરખીનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર કોલસા ખનન કરતા આઠ ઇસમોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ધીરુ કોળી, રામા કોળી, વિહા ઘીયડ, ગભરુ ઘીયડ, મનુ ઘીયડ, દીપ દરબાર (તમામ રહે. ખાખરાથળ, થાનગઢ), તેમજ હરેશ બારૈયા અને જગા બાવળીયા (બંને રહે. નાળીયરી રાણીપાટ, મુળી) નો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો અને વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ કાર્યવાહી, તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને જે વ્યક્તિઓના નામો સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
7 ડિસેમ્બર 2025ની રવિવારે પાકિસ્તાનના સંચાર મંત્રી અને IPP પાર્ટીના પ્રમુખ અબ્દુલ અલમ ખાને ફૈસલાબાદમાં એક જાહેરાત કરીને કહ્યું કે, પાકિસ્તાનમાં ચોક્કસપણે નાના-નાના પ્રાંતો બનાવવામાં આવશે. પાકિસ્તાની આર્મીની નજીકના ખાનનો આના પાછળ તર્ક એવો હતો કે પંજાબ અને સિંધ જેવા મોટા વિસ્તારોને ચલાવવા અઘરા છે માટે પાકિસ્તાનને 12 ભાગમાં વહેંચી નાખવામાં આવે તો સારી રીતે વહીવટ થાય. પણ શું ખરેખર આ વહીવટી નિર્ણય છે કે 4 પ્રાંતોના મુખ્યમંત્રીઓને કદ પ્રમાણે વેતરીને આર્મીને સર્વેસર્વા બનાવવાનું લશ્કરનું પ્લાનિંગ? આજે આપણે વાત કરીએ સરહદ પાર રમાઈ રહેલા મોટા જુગારની. નમસ્કાર.... 16 ડિસેમ્બર, 1971. આ તારીખ યાદ છે? આ એ દિવસ હતો જ્યારે ભારતીય સેનાના પરાક્રમે વિશ્વના નકશા પરથી 'પૂર્વ પાકિસ્તાન' નામ ભૂંસી નાખ્યું અને 'બાંગ્લાદેશ'નો જન્મ થયો, અને પાકિસ્તાનના બે ટુકડા થયા હતા. અગાઉ પણ નકશા પર કાતર ફરી પરંતુ….આજે 54 વર્ષ પછી, ઈસ્લામાબાદમાં ફરી એકવાર નકશા પર કાતર ફેરવવાની તૈયારી ચાલી રહી છે. પણ આ વખતે ટ્વિસ્ટ એ છે કે આ ભાગલા પાકિસ્તાન પોતે જ કરી રહ્યું છે અને સાંભળજો... આ વખતે ટુકડા બે નહીં, પણ પૂરા 12 કરવાની યોજના છે! થયું કંઈક એવું છે કે, પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PML-Nના મંત્રી અહેસાન ઈકબાલ અને બીજા નેતાઓએ સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો છે કે પાકિસ્તાનના 4 પ્રાંત એટલે કે પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહના ભાગ કરીને 12 રાજ્યો બનાવવામાં આવે. પાકિસ્તાન કેમ નાનાં રાજ્યો ઈચ્છે છે?આની પાછળ શાહબાઝ સરકારનો તર્ક છે કે 12 કરોડની વસ્તીવાળું પંજાબ એક રાજ્ય તરીકે સંભાળવું મુશ્કેલ છે. મોટા રાજ્યોની જગ્યાએ નાના રાજ્યો હોય તો વહીવટ સારી રીતે થઈ શકે. જો કે પડદા પાછળની રમત અલગ છે તેની આપણે આગળ વાત કરીશું. આ જાહેરાત થતાંની સાથે જ PPP પાર્ટીના બિલાવલ ભુટ્ટો ઝરદારી મોરચો માંડીને વિરોધમાં ઉતરી ગયા છે. બિલાવલે ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રીતે રાજ્યોના ટુકડા કરવામાં આવ્યા તો પરિણામો ભયાનક આવશે. જો કે તેમનું પણ આવું કહેવા પાછળનું રાજકીય અને આર્થિક કારણ જ છે. અને આ જ વિવાદે અત્યારે પાકિસ્તાનની સંસદથી લઈને સડકો સુધી ચર્ચાઓ જગાવી દીધી છે. 1955માં જ્યારે વન પાકિસ્તાન પ્લાન ફેલ થયોસૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે શાહબાઝ સરકારને સપનું આવ્યું અને વિભાજન કરવાનો વિચાર આવ્યો એવું નથી. પાકિસ્તાનમાં અગાઉ પણ નવા રાજ્યોની માગણી થઈ ચૂકી છે. જો કે થયું નહીં એ વાત અલગ છે. વાત છે 1955ની. ભારત અને પાકિસ્તાન નવા-નવા દેશ બન્યા હતા. હાલના બાંગ્લાદેશ અને ત્યારના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓની સંખ્યા વધુ હતી. તેમના પ્રભાવને રોકવા અને પંજાબનો પાવર વધારવા માટે પશ્ચિમ પાકિસ્તાને એક થઈને લડવા માટે વન યુનિટ પ્લાન રજૂ કર્યો. ઈચ્છા હતી કે સિંધ, પંજાબ, બલોચ વગેરેની ઓળખ એક કરીને એક પાકિસ્તાન બને. જેમ સરદાર સાહેબે રજવાડાઓ ભેગા કર્યા હતા એમ. પણ પાકિસ્તાનના કમનસીબ કે આ વન યુનિટ પ્લાન નિષ્ફળ ગયો. પ્રાદેશિક અસ્મિતા દબાવવાને કારણે વિદ્રોહ થયો અને 1971માં પાકિસ્તાનના બે ભાગલા થયા. લશ્કરી સત્તા બચાવવા દેશના ભાગલાઆની પાછળની વાત સમજવા જેવી છે, ભારતે આઝાદી પછી ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્યો બનાવ્યા. ઉપરથી આ લોકશાહી પ્રક્રિયા હતી. જ્યારે પાકિસ્તાનમાં આ પ્રક્રિયા હાલ ઉપરથી લાદવામાં આવી રહી છે. ત્યાંની પ્રજા માગ નથી કરી રહી કે અમને અલગ રાજ્યો આપો પણ હાં! આર્મી જરૂરથી પોતાની સુવિધાને જોઈ રહી છે. 1955માં તેમણે બધાને ભેગા કર્યા હતા સરકારની સત્તા બચાવવા, આજે તેઓ બધાને તોડી રહ્યા છે લશ્કરની સત્તા બચાવવા. રીત બદલાઈ છે, મકસદ એ જ છે'કંટ્રોલ'. પાકિસ્તાનમાં કૂલ વસ્તીના 50 ટકા લોકો પંજાબમાં રહે છે. આર્મી અને વહીવટી તંત્રમાં પણ 80 ટકા પંજાબીઓ છે. પંજાબ રાજ્યનો પરિચય સામેની બાજુ સિંધ બિલાવલનો ગઢ અને તેમની PPP પાર્ટીની લાઈફલાઈન છે. જો સિંધના ટુકડા થાય અને કરાંચી અલગ રાજ્ય બને તો ભુટ્ટો પરિવારની રાજનીતિનો બલી ચઢે. માટે જ બિલાવલ માટે અત્યારે ડુ ઓર ડાઇની પરિસ્થિતિ છે. સિંધ રાજ્યનો પરિચય આને વંશીય સમીકરણોથી સમજીએ તો પાકિસ્તાનમાં પંજાબી, સિંધી, બલૂચી અને પશ્તુન એમ ચાર વંશ અથવા રેસ છે. પંજાબ અને સિંધની જેમ જ પાકિસ્તાનના બાકીના બે પ્રાંતોની સ્થિતિ પણ કપરી છે. વાત કરીએ ખૈબર પખ્તુનખ્વાની. ખૈબર પખ્તુનખ્વાહનો પરિચય આવી પરિસ્થિતિમાં 12 રાજ્ય બને તો સીધી લીટીની વાત છે કે આ ચારેય વિસ્તારમાં રહેલા લોકોની સાંસ્કૃતિક ઓળખ ભૂંસાશે. આ વાતને રાજકીય, આર્થિક અને ડિફેન્સના લેન્સથી પણ સમજીએ. સૌથી પહેલા પોલિટિકલ એંગલ. આ પ્રસ્તાવ પાછળ શાહબાઝ શરીફ અને આર્મી ચીફનું એક કોમન ગણિત છે. પાકિસ્તાનમાં અત્યારે 'ફેડરલિઝમ' મજબૂત છે. 18મા બંધારણીય સુધારા પછી રાજ્યો પાસે પૈસા અને પાવર બંને છે. આર્મી અને સરકારની માઈન્ડ ગેમડિફેન્સની દ્રષ્ટિએ આર્મીને 4 મોટા મુખ્યમંત્રીઓને કંટ્રોલ કરવા અઘરા છે. જેમ કે ખૈબર પખ્તુનખ્વાહમાં ઈમરાન ખાનનો માણસ મુખ્યમંત્રી છે અને સરકારને બરોબરની ભીંસમાં લઈ રહ્યો છે. આની જગ્યાએ જો 12 રાજ્યોના 12 નાના-નાના રાજ્યોના મુખ્યમંત્રી હોય તો તે શક્તિની દ્રષ્ટિએ નબળા બને અને ઈસ્લામાબાદ સામે હાથ મિલાવી કે ફેલાવીને ઉભા રહે અને રાવલપિંડીને(આર્મી) સલામ ઠોકે. અને રાવલપિંડી પાસે અત્યારે સૌથી મોટો ખતરો છે ઈમરાન ખાન. તેમની લોકપ્રિયતા ઓછી કરવા સેનાને પંજાબના ટુકડા કરવા અતિ જરૂરી છે. જો એવું થાય તો ઈમરાનની આખી પઠાણી વોટબેંક વહેંચાઈ જાય. વિભાજનના રૂપિયા ક્યાંથી આવશે?હવે આને ઈકોનોમિક એંગલથી જોઈએ. માની લો કે એક સંયુક્ત પરિવાર છે. બધા મળીને માંડ 50 હજાર રૂપિયાની કમાણી કરે છે. હવે ઘરમાં ઝઘડો થયો અને બધા પરિવાર અલગ પડ્યા. અત્યાર સુધી એક રસોડું હતું પણ હવે 12 રસોડાં થયાં. મતલબ શું? 12 ચૂલા, 12 ગેસના બાટલા અને 12 વખત દૂધ-શાકભાજીનો ખર્ચ. આનાથી પિક્ચર ક્લિયર થઈ ગયું કે એક તો ઓલરેડી પાકિસ્તાન IMF અને વિદેશ મુલાકાત દરમિયાન મળતી ખૈરાતના જોરે ચાલે છે. એવામાં 12 નવા રાજ્યો એટલે 12 નવા વિધાનસભા ભવનો, 12 નવાં સચિવાલયો, 12 નવી કોર્ટ, 12 નવા રાજ્યપાલ અને એમના બંગલા. આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી એ જ મોટો પ્રશ્ન છે. આર્થિક દ્રષ્ટિએ તો આ પ્લાન આત્મહત્યા સમાન જ છે. સિંધની માગ અને બલોચ સાપ….અને હવે વાત કરીએ ડિફેન્સના એંગલની. આપણે એડિટર્સ વ્યૂમાં વાત કરી જ છે કે સિંધમાં આઝાદીની માગ વધી છે. બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાને પાળેલો સાપ તેને ડંખ મારે છે. જો આ રાજ્યો મજબૂત થશે તો ભવિષ્યમાં પાકિસ્તાનના ટુકડા થઈ શકે છે. માટે સરકાર જ મતલબ અહીં આર્મી પણ કાઢી શકાય... તે જ સામેથી એટલા નાના ટુકડા ટુકડા કરવા જઈ રહી છે કે કોઈ ક્યારેય સંગઠિત ન થઈ શકે અને સેના સામે લડી ન શકે. અંગ્રેજોવાળી ડિવાઈડ એન્ડ રૂલ નીતિ. અહીં એક ચીન એંગલ પણ છે, કઈ રીતે? ચીન અત્યારે પાકિસ્તાનમાં CPEC (China-Pakistan Economic Corridor) માં અબજો ડોલર રોકીને બેઠું છે. પણ બલૂચિસ્તાનમાં થતા હુમલા અને સિંધની રાજનીતિથી ચીન કંટાળી ગયું છે. ચીનની મંશા CPECના નામે પાકિસ્તાનના માલિક બનવાની છે, અને માલિકને હંમેશા નાના અને નબળા મેનેજર જ પસંદ આવે, જેથી કોઈ સામે અવાજ ન ઉઠાવી શકે. ચીનને પાકિસ્તાનની લોકશાહી કે રાજ્યોની ઓટોનોમીમાં જરાય રસ નથી. ચીનને જોઈએ છે 'સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ'.જો 12 નાના રાજ્યો બને, તો ચીન સીધું તે જિલ્લા કે નાનકડા રાજ્યના વહીવટી તંત્રને ખરીદી શકે અથવા દબાવી શકે. તેમને કરાંચી કે લાહોરની મોટી સરકારો સાથે માથાકૂટ કરવી ન પડે. થ્રી ઈડિયટ્સમાં ડાયલોગ છે ને.... બોલ વો રહે હૈ, શબ્દ હમારે હૈ અહીં પણ એવું હોય શકે કે, “બોલ શરીફ કે હૈ સ્ક્રિપ્ટ તો બેઈજિંગ હી લીખ રહા હૈ…” અને છેલ્લે... નકશા પર પેન્સિલથી લીટીઓ દોરીને જમીન વહેંચવી સહેલી છે, પણ લોકોના મનમાં પડેલી તિરાડો પૂરવી અઘરી છે. પાકિસ્તાનની સમસ્યા એ નથી કે તેના રાજ્યો મોટા છે; સમસ્યા એ છે કે ત્યાં શાસકોની દાનત ખોરી છે. પાકિસ્તાનના 4 ટુકડા થાય કે 12 કે 50! જ્યાં સુધી દેશનો પાયો 'લોકશાહી' અને 'આર્થિક વિકાસ' પર નહીં, પણ 'ધર્મ' અને 'આર્મીના ડર' પર ટકેલો હશે, ત્યાં સુધી કોઈ પણ ગણિત કામ નહીં કરે. 1947માં ધર્મના નામે, 1971માં ભાષાના નામે અને હવે ભવિષ્યમાં કદાચ વહીવટના નામે પાકિસ્તાનનું વિભાજન થાય તો નવાઈ નહીં.... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂઆવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
આવકની સરખામણી કરતા 203.40 ટકા વધુ સંપત્તિના કેસમાં નિવૃત કલેક્ટર એસ.કે. લાંગાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાના જમીન રદ કરી અરજી ફગાવી દીધી છે. આરોપી એસ.કે. લાંગાએ કાયદેસરની આવકની સરખામણી કરતા 203.40 ટકા જેટલી વધુ સંપત્તિ હોવાનું તપાસમાં આવે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે જામીન અરજીની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આરોપીએ પોતાના પત્ની અને પુત્રના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. જેની ગંભીરતાને ધ્યાને લેતા જામીન મળી શકે નહીં. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નિવૃત કલેક્ટર એસ.કે.લાંગાના જામીન રદ કર્યાસુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી IAS અધિકારી હતા અને ગાંધીનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમને પોતાની ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના તથા પોતાના પુત્રના નામે અપ્રમાણસર મિલકતો વસા વી છે. આરોપીએ પોતાની પત્ની અને પુત્રના ખાતામાં મોટી રકમો ટ્રાન્સફર કરી છે, તપાસમાં જાણવા મળ્યું છે. રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી અપ્રમાણસર સ્થાવર અને જંગલ મિલકત વસાવેલ છે. જે કાયદેસરની આવક કુલ 5,87,56,939ની સામે તેનો ખર્ચ અને રોકાણ 17,59,74,682 છે. જે આવક કરતા 203.40 ટકા જેટલી વધુ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. 'આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે'આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાઇ આવે છે તેમજ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે. જેથી માત્ર ચાર્જશીટ દાખલ થવાથી સંજોગો બદલાયેલ હોય કે ગુન્હોમાં ઘટાડો થયેલ હોય તેવું કહી શકાય નહીં. જેથી આ પ્રકારના બનાવને હળવાશથી ન લઈ શકાય. અરજદાર સામે આ સિવાય અન્ય ચાર ગુનાઓ પણ નોંધાયેલા છે. જે જોતા તે ગુનાહિત માનસ ધરાવતા હોવાનું જણાય છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર તેની અવળી અસર પડે અને સમાજમાં કાયદાનો કોઈ ડર રહે નહીં જેથી આરોપીને જામીનમુક્ત કરવા કોઈ યોગ્ય કેસ જણાતો નથી. જેથી આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. ચાર્જશીટ બાદ લાંગાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતીઅપ્રમાણસર મિલકતોનો આક્ષેપ આરોપી એસ. કે. લાંગા સામે અમદાવાદ શહેરના ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ થયા બાદ લાંગાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરી દીધી છે. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવા જોઇએ. રાજય સેવકની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર નાણાં મેળવ્યાજો કે, ખાસ સરકારી વકીલ અમિત એમ. નાયરે એવી રજૂઆત કરી હતી કે, હાલના આરોપી ભૂતકાળમાં આઈ.એ.એસ. અધિકારી હતા અને ગાંધીનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આરોપીએ રાજય સેવક તરીકેની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા છે. આ નાણાંનું રોકાણ પોતાના તથા પુત્રના નામે સ્થાવર તેમજ જંગમ મિલકતોમાં કરીને અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનો આરોપ છે. આરોપીએ પોતાની પત્ની અને પુત્રના ખાતામાં મોટી રકમો ટ્રાન્સફર કરેલ છે. આ દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી સામે સીધો અને સ્પષ્ટ કેસ છે. આક્ષેપિત ગુનાની ગંભીરતા ધ્યાને લેતા, જામીન અરજી નામંજૂર થવી જોઈએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.
cctv સામે આવ્યા:અક્ષરવાડી નજીક કાર ચાલકે મહિલા તથા યુવતીને અડફેટે લઈ ફરાર, મહિલાનું મોત
દેરાણી-જેઠાણી ઘરેથી રાત્રે વોકિંગ માટે નીકળ્યા હતા યુવતી ને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ગતરાત્રિના સમયે દેરાણી જેઠાણી વોકિંગ માટે પાણીની ટાંકી અક્ષરવાડી વાળા રોડ પર નીકળ્યા હોય એ દરમિયાન પૂર ઝડપે આવેલ એક કાર ચાલકે મહિલા તથા સ્કૂટર પર સવાર યુવતીને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઠારના ચાલકે મહિલાને ઉડાડતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કાળિયાબીડમાં આવેલ સાગવાડી સ્થિત રામેશ્વર મહાદેવના મંદિરમાં રહેતા અને સેવા પૂજા કરતા સાધુ ધર્મેશ્વરી ભીમપુરી ગોસ્વામીના પત્ની સોનલબેન તથા સોનલબેનની જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગૌસ્વામી ગતરાત્રિના સમયે તેના ઘરેથી વોકિંગ માટે નીકળ્યા હતા. આ દેરાણી જેઠાણી પાણીની ટાંકીથી અક્ષરવાડી વાળા રોડ પર વોકિંગ કરતા જઈ રહ્યા હતા, ત્યારે દેરાણી જેઠાણી પાછળ આવી રહેલ કાર્ડ નંબર GJ 14 BJ 0058 ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બે ફિકરાય પૂર્વક ચલાવી ચાલતા જઈ રહેલ દેરાણી જેઠાણી પૈકી સોનલબેનને અડફેટે લઈ આગળ ઈ-સ્કૂટર પર જઈ રહેલ ઉમેદાની બિલાલ શેખ નામની યુવતીને પણ અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતમાં સ્કૂટર સવારે યુવતી તથા સોનલબેન ને નાની મોટી ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સોનલબેન ધર્મેશ પરી ગોસ્વામી ઉં.વ.38 નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે યુવતીને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ બનાવને લઈને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ કારચાલક વિરુદ્ધ જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગોસ્વામી રહે.પ્લોટ નંબર 1700/એ કાળીયાબીડ સાગવાડી વાળા મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડા અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવી રહ્યા છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટ સીલરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા 6 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસમાં શહેરના તમામ વિસ્તારોમાં આવા ફૂડ કોર્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટને 25 હજારને દંડથલતેજ અને બોડકદેવ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સૌમ્ય અને રશ્મિ આઇકોન નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગેના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રીન નેટ કે સેફ્ટી નેટ લગાવવામાં આવી નથી. જેના પગલે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટને 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે
અલ્જીરિયામાં તા.26 થી 30 નવેમ્બર–2025 દરમિયાન ‘અલ્જીરિયા મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચર’ ના બેનર હેઠળ યોજાયેલ Telemcen International Art Festival 2025 માં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાનો સન્માન ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત–ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગોરી યુસુફ હુસેનજીને મળ્યો હતો. ભારતના સંસ્કૃતિક દૂત બની યુસુફે માત્ર પોતાની કૃતિઓ રજૂ કરી નહીં, પરંતુ ભારત–અલ્જીરિયા વચ્ચે ભવિષ્યમાં સંયુક્ત કલાપ્રદર્શનો યોજાય તેવા મહત્વપૂર્ણ માર્ગો પણ પ્રસ્તાવ્યા હતા. બે દેશોના કલાકારો જ્યારે એક જ મંચ પર મળે છે ત્યારે જે અનોખું સંસ્કૃતિ–સેતુ સર્જાય તે ‘કલાતીર્થ’થી ઓછું નથી. યુસુફના જણાવ્યા મુજબ “બાળકોના હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવાના છે જેથી તેઓ કલા મારફતે વિશ્વને શાંતિનો સાચો સંદેશ આપી શકે. આ વિશ્વની જાળવણી અને કેળવણી કરવા માટે કલા અને સંસ્કૃતિનું સ્થાન અનન્ય છે”. આ મહોત્સવમાં ભારત સહિત વિશ્વના 20થી વધુ દેશોના કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના દેશોની સંસ્કૃતિને નવી ઊંચાઈ આપી હતી.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની બોગસ સહીઓ કરી રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે આરોપી દેવેન્દ્ર ગણાત્રાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રિન્સિપાલ ગંગારામ મીણાએ નોંધાવી ફરિયાદ રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ગંગારામ મીણા (ઉ.વ.47)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સીનીયર સેક્રેટરીયટ આસીસ્ટન્ટ (એસ.એસ.એ.) તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય અને બાદમાં દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરતા હોય છે તેમજ શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલ હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત તથા સહીઓ તથા રીમાર્ક વાળા કોલમનુ બનાવેલ છે અને આ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ દેવેન્દ્ર ગણાત્રાનુ છે. જે ચેક આપીએ તે ચેકમા એક કરતા વધુ લોકોને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તેવા કિસ્સામા બેંકને સેલ્ફ નામથી ચેક આપી અને તમામ લોકોની કુલ રકમનો ચેક લખી અને સાથે બેંકીંગ એડવાઇઝ સ્લીપ જેમા જે જે લોકોને પૈસા આપવાના હોય તેમના ખાતા નંબર, નામ વગેરે વિગત સાથે તેમજ સ્લીપમાં પણ તેઓની સહીઓ તથા શાળાનો સ્ટેમ્પ લગાવીને આપવામાં આવે છે. તે ચેક જમા કરવા પણ દેવેન્દ્ર ગણાત્રા જતા હોય છે. તેઓની રીઝનલ ઓફીસ અમદાવાદથી ગત તા.21ના ફોન કે, તમારા બેંક ખાતામા મોટા પ્રમાણમા પૈસાની ટ્રાન્સફર થાય છે તે અંગે ચેક કરવાનુ કહેતા દેવેન્દ્ર ગણાત્રાને પુછતા તેઓએ લેખીતમાં એક પત્રમા જણાવ્યું કે, તેણે પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સીને ઓક્ટોમ્બર 2025મા પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારબાદ જણાવ્યું કે, આ ટ્રાન્જેક્શન બેંકની ભુલના કારણે થયેલ છે અને તે અંગે બેંકના સ્ટેમ્પ વાળો લેટર વોટસઅપમાં મોકલ્યો હતો. જેથી કાલાવડ રોડ પર આવેલ યુનીયન બેંક ખાતે ખરાઈ કરવા પત્ર લખતા લેખીતમાં જણાવ્યું કે, ટ્રાન્ઝેક્શન ડીટેલ્સ ખોટી હોવાનુ તેમજ બેન્કની અધિકૃત નકલ ન હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ ચેક ઇસ્યુ રજીસ્ટર તથા બેંક ખાતાના સ્ટેટમેન્ટ જોતા જાણવા મળ્યું કે,પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સી નામની પેઢીને શાળાએ કોઈ કામ કરાવ્યું ન હતું, કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર આપ્યો ન હતો. જયારે દેવેન્દ્રના બેંક ખાતામા રૂ.11,83,839 ટ્રાન્સફર થયા હોય જે બાબતે શાળાના વિદ્યાલય પ્રબંધન કમીટીના અધ્યક્ષ કલેક્ટર હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી. શાળાના બેંક ખાતામાથી તેમજ ઇસ્યુ કરેલ ચેકની નકલો તેમજ સાથે આપવામા આવતી બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી)નુ લીસ્ટ મંગાવતા તેને ચેક ઇસ્યુ રજીસ્ટર સાથે સરખાવતા ચેકમા છેડછાડ તેમજ બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી) ફરીયાદીની તેમજ ગૌતમભાઈ પરમારની ખોટી સહીઓ કરી અને રૂ.23.83 લાખ ટ્રાન્સફર કર્યા અંગેનુ ધ્યાન પર આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા વધુ રકમની ઉચાપત કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઊંચા AQIના સ્તરને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવા બદલ દંડ કરાયેલી 31 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોએ દંડની રકમ ભરપાઇ ન કરતાં હવે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેમની વિકાસ પરવાનગી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરીગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ઊંચા AQIના સ્તરને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ કે સેફ્ટી નેટ લગાવવાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી માટે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ શાખાએ દરેક સાઇટ દીઠ 25 હજારનો દંડ ફટકાર્યોઆ તપાસમાં કુલ 52 કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનો ભંગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જેના પગલે નિયમોનું પાલન ન કરવા બદલ ટાઉન પ્લાનિંગ શાખાએ દરેક સાઇટ દીઠ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં 21 સાઇટના માલિકોએ દંડની રકમ ભરપાઈ કરી દીધી છે, પરંતુ બાકીની 31 સાઇટના માલિકોએ હજી સુધી દંડ ભર્યો નથી. 31 બાકીદાર સાઇટ માલિકોને અંતિમ નોટિસ પાઠવીજેના પગલે ટાઉન પ્લાનિંગ શાખાએ આ 31 બાકીદાર સાઇટ માલિકોને અંતિમ નોટિસ પાઠવી છે. તેમને દંડની રકમ એક દિવસમાં જમા કરાવવાની તાકીદ કરવામાં આવી છે. જો આ સમયગાળામાં દંડ ભરપાઇ નહીં થાય તો તેમની વિકાસ પરવાનગી સ્થગિત કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વર રમતગમત સંકુલ ખાતે મધ્યઝોનની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણીબેન સરવૈયા સહિત રમતગમત વિભાગના કોચ અને ટીમો ઉપસ્થિત રહી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આ સ્પર્ધા યોજાઈ રહી છે. 11 થી 17 ડિસેમ્બર દરમિયાન ચાલનારી આ સ્પર્ધામાં અંડર-17, અંડર-14 અને ઓપન એજ ગ્રુપમાં ભાઈઓ અને બહેનોની ખો-ખો મેચો રમાશે. ગુરુવારે રમતગમત સંકુલ ખાતે ખો-ખો (બહેનો) અંડર-17 સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. આ મધ્યઝોન ખો-ખો સ્પર્ધામાં કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર સિટી, ગાંધીનગર ગ્રામ્ય, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની બહેનોની ટીમોનો સમાવેશ થાય છે. સ્પર્ધાના પ્રારંભે હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરીએ શ્રીફળ વધેરી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ ખો-ખો મેચમાં અરવલ્લી અને ગાંધીનગર ગ્રામ્યની ટીમોનો પરિચય કરાવી ટોસ કરવામાં આવ્યો હતો. બીજા મેદાન પર મહેસાણા અને પાટણ જિલ્લાની ટીમોનો પરિચય કરાવી ટોસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને મેદાન પર ખો-ખોની મેચો શરૂ થઈ હતી. આજે લીગ મેચો રમાયા બાદ આવતીકાલે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચો યોજાશે. આ સ્પર્ધામાં વિજેતા બનનારી પ્રથમ અને દ્વિતીય ટીમ રાજ્યકક્ષાએ રમવા માટે ક્વોલિફાય થશે.
વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ચાલુ ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાયેલી બાળકી મળતા રેલવે પોલીસ સક્રિય બની હતી. પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી હતી. આખરે, રેલવે પોલીસને ગણતરીના સમયમાં જ આ કેસ ઉકેલવામાં સફળતા મળી છે. આ મામલે પોલીસે એક સગીરા, તેના પિતા અને બે માસીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાના માતા-પિતા અને માસીઓએ બાળકીને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ યોજના મુજબ, તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં નવજાત બાળકીને ત્યજીને ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીઓ સુધી પહોંચવા માટે વલસાડ રેલવે પોલીસે વલસાડ રેલવે સ્ટેશન તેમજ આસપાસના અન્ય રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વલસાડ રેલવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ SOGની ટીમે બાપુનગરમાંથી ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો છે. SOGએ બાપુનગરમાં એક મકાનમાં રેડ કરીને 3.47 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ ગાંજાનો વેચાણ કરતા બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ડ્રગ્સ માફિયા વોન્ટેડ છે અને તેની પત્ની પોલીસ સંકજામાં આવી ગઈ છે. 6 કિલો ગાંજા સાથે 4.90 લાખ જપ્ત6 કિલો 950 ગ્રામ ગાંજાના જથ્થા સહિત 4.90 લાખની રોકડ પણ SOGને મકાનમાંથી મળી આવી છે જે પણ જપ્ત કરવામાં આવી છે. સોનીબાનું, રફીક શેખ અને સગુફાબાનુંની SOG એ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અબ્દુલ પોતાના ઘરમાં ગાંજાનું વેચાણ કરતોSOGની ટીમને બાતમી મળી હતી કે અબ્દુલ કાદીર ઉર્ફે બાપુ પઠાણ પોતાના ઘરેથી ગાંજાનો ધંધો કરે છે. અબ્દુલ કાદર સાથે ધંધામાં તેની પત્નિ તેમજ મળતીયાઓ પણ મદદ કરી રહ્યા હોવાની SOGને બાતમી મળી હતી. અબ્દુલ પોતાના ઘરમાં બહારથી ગાંજો લાવીને વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘરમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યોબાપુનગરમાં ભવાની ચોકમાં સોનીબાનુંના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રફીક શેખ, સોનીબાનુ, સગુફાબાનુની મળી આવ્યા હતા. સોનીબાનુ અબ્દુલ કાદરની પત્ની છે અને તે બાપુનગરના ભવાની ચોકમાં રહે છે. SOGની ટીમે અબ્દુલ કાદરના ઘરની તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ચાર વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલSOGએ અબ્દુલ કાદર ક્યા છે તે મામલે પુછપરછ કરતા સોનીબાનુએ જણાવ્યુ હતું કે તે બહાર ગયો છે. SOGએ જપ્ત કરેલો ગાંજાના પરિક્ષણ માટે FSLની ટીમને બોલાવી હતી. FSLની ટીમ ઘટના સ્થળે આવીને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું જેમાં તે ગાંજો હોવાનું પુરવાર થયું હતું. SOGએ રફીક શેખ, સોનીબાનુ અને સગુફાબાનુની ધરપકડ કરી હતી. જ્યારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘરમાં CCTV કેમેરા લાગેલા હતાઅબ્દુલ કાદિર ઘરમાંથી SOGએ 3.47 લાખ રૂપિયાનો 6 કિલો અને 950 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. આ સિવાય અબ્દુલ કાદિર પોતાના ઘરમાં CCTV કેમેરા પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેનુ ડીવીઆર પણ SOGએ જપ્ત કર્યુ છે. SOGએ અબ્દુલ કાદરના ઘરમાંથી 4.90 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
‘જો ઈન્ડિગોએ જાણીજોઈને સંકટ ઊભું કર્યું હશે તો...’, કેન્દ્રીય મંત્રીની CEOને ચેતવણી
Indigo Airlines Crisis : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ સમસ્યાને લઈને ગંભીર ચેતવણી આવી છે. છેલ્લા ઘણા દિવસોથી એરલાઈન્સની અનેક ફ્લાઈટો રદ થવાના કારણે અનેક મુસાફરો પરેશાન થયા છે, જેના કારણે મંત્રાલયના મંત્રી રામ મોહન નાયડૂએ એરલાઈન્સની સીઈઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જો ઈન્ડિગોએ જાણી જોઈને સંકટ ઉભું કર્યું હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.’ ફ્લાઈટો રદ થવા પાછળ ઈન્ડિગોની બેદરકારી : નાગરિક ઉડ્ડ ય ન મંત્રી નાયડૂએ ખાનગી મીડિયા કાર્યક્રમમાં ઈન્ડિગોના કારણે હેરાન થયેલા મુસાફરો અંગે ચર્ચા કરતી વખતે કહ્યું કે, ‘ઈન્ડિગોના ગેરવહિવટ કામકાજના કારણે હજારો ફ્લાઈટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઈટોમાં વિલંબ થયો છે. એરલાઈન્સે નવી ગાઈડલાઈન મુજબ પોતાનું રોસ્ટર તૈયાર કરવાની જરૂરી હતી, જોકે તેમાં ગડબડ કરવામાં આવી, તેથી આ સમસ્યા સર્જાઈ.
અરવલ્લી જિલ્લાના ગાબટ ગામમાં વાત્રક જળાશયની ડાબા કાંઠાની માઇનોર-3 કેનાલમાં દરવાજાના અભાવે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ ઘટનાને કારણે ખેડૂત જીતેન્દ્ર સુથારના 10 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હાલમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉંનું વિશેષ વાવેતર કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે ડેમોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાઠંબા નજીક ગાબટ ખાતે આવેલી માઇનોર-3 કેનાલમાં દરવાજા ન હોવાને કારણે પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું. પાણી ભરાવાને કારણે ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂત જીતેન્દ્ર સુથારે જણાવ્યું હતું કે તેમણે 10 વીઘા જમીનમાં મોંઘા ભાવનું બિયારણ લાવીને ઘઉંનું વાવેતર કર્યું હતું. પરંતુ કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા તેમનો આખો પાક નાશ પામ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે તેમને મોટું નુકસાન થયું છે.

23 C