SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

છેતરપિંડી:ભુજમાં શેરમાર્કેટમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી

શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં બોર્ડર રેન્જ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી અબડાસા તાલુકાના રેલરીયા મંજલના હાલે ભુજમાં રહેતા અજીતસિંહ ખેંગારજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 એપ્રિલના તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા.જે ગ્રુપમાં એડમીને પોતે દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્ક નામની ફર્મ તરફથી હોવાની ઓળખ આપી હતી. આ ગ્રુપમાં દરરોજ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓને લગતા મેસેજ આવતા હતા.4 જુલાઈના રોકાણ કરવાની વાત કરતા વોટ્સએપમાં ફોર્મ મોકલાવ્યું અને બાદમાં લિંક મોકલાવી હતી. શરૂઆતમાં 5,000નું રોકાણ કર્યું અને 5,245 જેટલી રકમ જમા થઈ હતી જેથી બાદમાં શેર બજારમાં નાણા રોક્યા અને રકમ ઉપાડી હતી.તબક્કાવાર કુલ 16,05,490 રૂપિયા ભરી દીધા હતા અને રોકાણની રકમ વોલેટમાં નફા સાથે દેખાતી હતી બાદમાં આઇપીઓ ભરવા રૂપિયાની જરૂર પડતા વોલેટમાં બેલેન્સ ન હોવાથી ના પાડી હતી પરંતુ આઇપીઓ ભરવા લોન લેવાનો વિકલ્પ આપ્યો અને 18 લાખની રકમ લોન પેટે જમા થઈ હતી આ લોનની રકમથી તેઓના કહ્યા મુજબ આઇપીઓ ભર્યો જેમાં નફો થયો હતો.રકમ ઉપાડવાની કોશિશ કરતા રકમ ઉપડી નહી બાદમાં કહ્યું કે, તમે જે લોન લીધી છે તેના અડધા રૂપિયા 9 લાખ ભરવા જણાવ્યું હતું અલગ અલગ બહાના બતાવી રૂપિયા ઉપડતા ન હતા. જેથી સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવતા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસમા અરજી આપી હતી. આરોપીઓએ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓ એલોટમેન્ટમાં સક્સેસ રેટ સારો હોવાની ખોટી લાલચ આપી ફરીયાદી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી અલગ અલગ બહાના બતાવી રકમ ન આપી દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્કલ ફર્મના નામે ઠગાઈ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:28 am

SIR:કચ્છના 4100 મતદારોએ ફોર્મ 6 અને 556 મતદારોએ ફોર્મ 7 ભર્યા

ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અમલમાં મુકવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના 2.14 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. સાથે જ પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં કચ્છના 65,078 મેપિંગ થયું નથી, તેવા મતદારો 18 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત કરવા સંબંધિત વાંધા-દાવા રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છ જિલ્લા ચુંટણી કચેરીમાંથી મેળેલી માહિતી આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા. 23 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 4100 નાગરિકો દ્વારા ફોર્મ 6 તથા 6A રજૂ કરવામાં આવ્યા છે. આ પૈકી 265 ફોર્મ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થવા પૂર્વે પ્રાપ્ત થયા હતા, જ્યારે 3835 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ પ્રાપ્ત થયા છે. આ સાથે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે રાજ્યના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 556 નાગરિકો દ્વારા ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 51 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થવા પૂર્વે અને 505 ફોર્મ ત્યારબાદ મળ્યા હોવાનું ચૂંટણી વિભાગે જણાવ્યું છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા મળેલા તમામ વાંધા-દાવાની સત્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને યોગ્ય ચકાસણી બાદ તેના નિકાલની પ્રક્રિયા પણ સાથે સાથે કરવામાં આવશે. ચૂંટણી વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના મતદાર તરીકેના અધિકારને સુનિશ્ચિત કરવા સમયસર જરૂરી કાર્યવાહી કરે. ફોર્મ 6, 6A અને ફોર્મ 7 નો શું છે ઉપયોગલોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. ચૂંટણી પંચ દ્વારા મુખ્યત્વે ત્રણ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ 6 જે નાગરિકોની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ છે અને પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરાવવા માંગે છે, તેમના માટે ફોર્મ 6 છે. આ ઉપરાંત, એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેઠાણ બદલ્યું હોય ત્યારે પણ આ ફોર્મ ભરવું પડે છે. જયારે ફોર્મ 6-A જે ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે (NRI) અને ભારતની ચૂંટણીમાં મતાધિકાર મેળવવા માંગે છે, તેમના માટે ફોર્મ 6-A છે. આ ફોર્મ દ્વારા તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. ફોર્મ 7 એવા મતદાર માટે છે જે યાદીમાં કોઈ વ્યક્તિનું નામ ખોટી રીતે નોંધાયું હોય, વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા રહેઠાણ બદલીને અન્યત્ર ગયા હોય, તો નામ રદ કરવા અથવા વાંધો ઉઠાવવા માટે ફોર્મ 7 નો ઉપયોગ થાય છે. નાગરિકો ‘વોટર હેલ્પલાઇન એપ’અથવા ચૂંટણી પંચના પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:28 am

ભાસ્કર ઈનસાઈડ:વડોદરાથી અપડાઉન કરનારાઓને બાજવા, વિશ્વામિત્રી અને છાયાપુરી સુધીનો ધક્કો થશે

વડોદરાથી અમદાવાદ, ગોધરા-દાહોદ અને વલસાડ તરફ અપડાઉન કરનારા મુસાફરોને હવે વડોદરા રેલવે સ્ટેશનને બદલે બાજવા, વિશ્વામિત્રી અને છાયાપુરી રેલવે સ્ટેશનનો ધક્કો પડવાનો છે. વડોદરા લાઇન નં.3 પર કમ્પ્લિટ ટ્રેક રિન્યૂઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે 17મી જાન્યુઆરી સુધી રોજે 20 હજારથી વધુ પાસધારકો સહિત અપડાઉન કરનારાઓ અને મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશનથી નહીં આ ત્રણ સેટેલાઇટ સ્ટેશનોથી મુસાફરી કરવી પડશે. અમદાવાદ, ગોધરા-દાહોદ કે વલસાડથી નિયત ટ્રેનોમાં આવતા હશો તો આ જ 3 સેટેલાઇટ સ્ટેશનો પર જ ઉતરવું પડશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ કામગીરીની જાહેરાત રેલવેએ બુધવારે બપોરે કરી હતી. પેસેન્જર એસોસિયેશનના અધ્યક્ષ ઓમકારનાથ તિવારીએ જણાવ્યું કે, રોજના અપ અને ડાઉનના 20 હજાર જેટલા મુસાફરોને આ બ્લોકની અસર થશે. આ ઉપરાંત કેટલાક લોકો ખાસ કરીને ગોધરા-દાહોદ અને અમદાવાદ તરફ રેલવેમાં અપડાઉન કરતા મુસફરોને રિક્ષા-બસ ભાડા સહિતનું આર્થિક ભારણ પણ વધશે ટ્રેનોની ઝડપ વધારવા સંપૂર્ણ પાટાના નવિનીકરણની કામગીરી હાથ ધરાશેપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની ઝડપ વધારવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ ટ્રેક પર જો ઝડપ વધારવી હોય તો સંપુર્ણ પાટા નવિનીરપણ(કમ્પ્લિટ ટ્રેક રિન્યૂઅલ) કરવું અનિવાર્ય છે. આ કામગીરીમાં રેઇલ્સ(પાટા), સ્લીપર્સ, ફિટિંગ્સ અને પાટા નીચેના બેલાસ્ટ પણ બદલવામાં આવે છે. જેના લીધે ટ્રેક વધુ મજબૂત અને વધુ ધસારો ખમવા સક્ષમ બને છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ હેતુથી આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અકસ્માતોની શક્યતાને પણ આ કામગીરીને લીધે અટકાવી શકાય છે. કઈ ટ્રેન કયા રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ-ઓરિજિનેટ કરાશે

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:26 am

ભાસ્કર નોલેજ:ગોરવાની યુવતીએ એસિડ પી લેતાં અન્નનળી સંકોચાઈ, એસએસજીમાં સફળ સર્જરી કરાઈ

શહેરનાં ગોરવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ એસિડ પી લેતા તેની અન્નનળી પાતળી થઈ ગઈ હતી અને તેના કારણે તે અન્ન-જળ લઈ નહોતી શકતી. જેને પગલે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ બાદ ઓકોલોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ હાલમાં યુવતી સંપૂર્ણ પણ સ્વસ્થ છે. ગોરવા વિસ્તારમાં રહેતી પૂજા(નામ બદલ્યું છે)એ 6 મહિના પહેલા આવેશમાં આવીને એસિડ પી લીધું હતું. જે બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. 3 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પૂજા સ્વસ્થ નહોતી થઈ. એસિડ પી લીધા હોવાને કારણે તેની અન્નનળી સંકોચાઈ ગઈ હતી અને જઠરને પણ નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે તે ખોરાક નહોતી લઈ શકતી. સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલી અને ડો.સમરી કચેરીવાલાએ પૂજાનું કાઉન્સેલિંગ કરીને કાયમી ઈલાજ માટે જટિલ સર્જરી કરાવવા માટે તૈયાર કરી હતી. ટીમના સંયુક્ત પ્રયાસના કારણે 6થી 8 કલાકની જહેમત બાદ સફળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ 5 લાખ રૂપિયા જેટલો થઈ શકે છે ત્યારે સયાજીમાં આ સર્જરી સંપૂર્ણ રીતે નિ:શુલ્ક કરવામાં આવી હતી. ઓકોલોપ્લાસ્ટીથી કાયમી નિદાન મળે, અન્નનળીનું સંકોચન એન્ડોસ્કોપિક રીતે દૂર કરવું શક્ય નથીઆવા કિસ્સામાં નિદાનના ભાગરૂપે ગળાના સર્જન તેમજ આંતરડા માટેના સર્જન,ફિજિશિયન દ્વારા લેસર, દૂરબીન દ્વારા ડાયલેટેશન જેવા વિકલ્પ પણ અસ્તિત્વમાં છે. જેના દ્વારા અન્નનળી પહોળી થઈ શકે છે. પરંતુ આ તમામ પદ્ધતિથી કાયમી ઉકેલ મળતો નથી. પરંતુ જટિલ સર્જરી ઓકોલોપ્લાસ્ટીથી કાયમી નિદાન મળે છે. દર્દીનું અન્નનળીનું સંકોચન એન્ડોસ્કોપીક રીતે દૂર કરવું શક્ય નથી થતું, સર્જરી દ્વારા મોટા આંતરડાને ઉદરપટલ પર છાતી ભાગે થઈ ગળા સુધી લઈ જવાય છેે. મોં અને જઠર વચ્ચે એક બાયપાસ બનાવવામાં આવે છે, આ પ્રક્રિયાને ઓકોલોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:24 am

નાણાંનો વ્યય:કલાલી રોડ પર એક મહિના પહેલા બનાવેલા રોડને પાણીની લાઈનના કારણે ખોદી નખાયો

મુખ્યમંત્રીએ રોડ બની ગયા બાદ તેને ખોદવાથી તંત્રની બદનામી થાય છે તેવી ટકોર કરી હતી. જોકે શહેરમાં મુખ્યમંત્રીની ટકોરની ધરાર અવગણના થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિના અગાઉ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા કલાલી રોડને પાણીની લાઈનમાં થયેલા લીકેજના કારણે ખોદવામાં આવતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પાલિકાના રોડ પ્રોજેક્ટ દ્વારા કલાલીથી અટલાદરા તરફ કોર્પોરેટ પાર્ક નજીક 200 મીટર સુધી રોડ બનાવ્યો હતો. 41 લાખના ખર્ચે તૈયાર થયેલા આ રોડને બુધવારે બપોરે એકાએક ખોદી નાખતાં આસપાસના રહીશો તેમજ વાહનચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બે દિવસ પૂર્વે આ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે બપોરે રોડની વચ્ચે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. વોર્ડ-12ના કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ રોડ પર માત્ર ટુ-વ્હીલર વાહનો જ અવર-જવર કરે છે. માલધારી વાહનો અહીંથી પસાર થતાં નથી, છતાં પાણી લાઈન કેવી રીતે લીકેજ થઈ તેની તપાસ થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:23 am

ભાસ્કર ઈનસાઈડ:વારસિયાના પ્લોટમાં મોડી રાતે કાર સળગવાના બનાવમાં એક ઝડપાયો

દારૂના ધંધાની જુની અદાલતે વારસિયામાં એક બુટલેગરે બીજા બુટલેગરના સાગરીતની કાર સળગાવી હતી.આ બનાવમાં સંડોવાયેલા ત્રણ પૈકી એક આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે બે હજી સુધી ફરાર છે. વારસિયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ કારડાની ફરિયાદ અનુસાર, તેની ધર્મેશ ઉર્ફે ગોલુ ઈંદ્ર કુમાર સચ્ચદેવ સાથે મિત્રતા છે. જેથી ધર્મેશ અને હિમાંષુ વચ્ચે અવાર-નવાર ઝઘડો થયા કરતો હતો.દરમિયાન ધર્મેશ સચ્ચદેવને ગુજસીટોકના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. ઝઘડા બાદ ફરિયાદી 26 નવેમ્બરની રાતે 11-30 વાગે પોતાની થાર કાર સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરીને ઘરે જઈ સુઈ ગયો હતો.ત્યારે રાતે 2 વાગે સફેદ કારમાં આવેલા હેરી અને વિવેક કેવલાણીએ ફરિયાદીની થાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી ભાગી ગયા હતાં. કોમન પ્લોટમાં જઈને જોતા મનીષ કારડાની થાર, ઉપરાંત સોસાયટીમાં જ રહેતા કલ્પેશ પરમારની ટ્રાઈબર કાર, તેમજ મિતેષભાઈ દુધાણીની હુંડાઈ કાર પણ સાથે સળગી ગઈ હતી. સોસાયટીના સભ્યોએ ફાયરબ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.આ મામલાના આરોપી વિશાલને કિશનવાડીથી વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે. મુખ્ય બે આરોપી રાજ્ય બહાર ભાગી ગયા છેવારસિયાના બુટલેગર હરિ સિંધી અગાઉ વરણામા પોલીસ મથકેથી ભાગી ગયો હતો.જ્યારે પુત્ર હેરી સાથે હરિયાણાના ગુડગાંવમાં બંનેને અલ્પુ સિંધી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.દારૂના ધંધાના કારણે હેરીના રાજ્યબહાર અનેક સંપર્કો છે.એ કાર સળગાવવાના અન્ય આરોપી વિવેક સાથે રાજ્ય બહાર જુદા જુદા સ્થળો ઉપર પોલીસથી બચવા માટે સતત ફરતો રહે છે.અને પોલીસ પગેરું ના મેળવી શકે એ માટે બંને આરોપી મોબાઇલનો પણ ઉપયોગ કરતા નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:22 am

ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્ય બહારના લોકો વડોદરામાં વેપાર નહીં પણ નોકરી માટે આવે છે, જેથી વિકાસ થઈ રહ્યો નથી

ઔદ્યોગિક વિકાસમાં વડોદરા પાછળ રહી ગયું છે, જેનું સૌથી મોટું કારણ છે વડોદરામાં સ્થાયી કામદારોનો અભાવ, સ્થાનિક ઉદ્યોગો માટે અન્ય શહેરોથી વેપારીઓ સ્થાયી થતા નથી. સુરત-અમદાવાદમાં વેપાર શરૂ કરનારને પોતાના વતનમાંથી જ વર્કફોર્સ મળી રહે છે.એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપકે કરેલા રિસર્ચમાં વડોદરાના વિકાસની દોડમાં કેમ પાછળ રહી ગયું છે તેનું તારણ આવ્યું છે. વડોદરા ધીમા ઔદ્યોગિક વિકાસ અને વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે. વડોદરા પાછળ રહી ગયું હોવાની લાગણી શહેરીજનો પણ અનુભવી રહ્યા છે. ત્યારે વિકાસની ગતિ કેમ વધતી નથી તેના તારણો વિશે આર્ટસ ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને હેડ ડૉ. વિરેન્દ્ર સિંહએ રિસર્ચ કર્યું છે. તેમણે કરેલા રિસર્ચમાં વડોદરા મુખ્યત્વે પાછળ રહી ગયું છે.અમદાવાદ અને સુરત વડોદરા કરતા વધુ ઝડપથી વિકાસ પામ્યું છે. સુરતમાં બે મુખ્ય ઉદ્યોગો છે કાપડ અને હીરા. હીરા ઉદ્યોગની માલિકી મુખ્યત્વે સૌરાષ્ટ્રના વતનીઓ પાસે છે. સૌરાષ્ટ્રનું શ્રમ તેમના વતનના માલિકો સાથે જોડાય છે જ્યારે રાજસ્થાનનું શ્રમ તેમના વતનના માલિકો સાથે જોડાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશના શ્રમને આકર્ષે છે. વડોદરાના કિસ્સામાં આ આખું ચક્ર ખૂટે છે. યોગ્ય શ્રમ સહાય વિના કોઈ ઉદ્યોગ વિકાસ કરી શકતો નથી. વડોદરામાં શહેર કે રાજય બહારથી આવે છે તે વેપાર કરવા નહિ પરંતુ નોકરી અર્થે આવે છે જેથી વેપારનો વિકાસ થઇ રહ્યો નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પણ વિકાસમાં રસ નથીઆર્ટસ ફેકલ્ટીના અધ્યાપકે કરેલા રિસર્ચમાં બહાર આવ્યું હતું કે સ્થાનીક સ્વરાજની સંસ્થાઓની પણ વિકાસમાં રસ નથી. કેન્દ્રની યોજનાઓ હોય કે રાજય સરકારની યોજનાઓ તેમાં યોગ્ય કામગીરી કરાતી નથી. આ ઉપરાંત રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ પણ વડોદરાના વિકાસને અવરોધી રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને વડોદરા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર- રેલ્વે કનેક્ટિવિટી આવશ્યક છે. તે સરળ ઍક્સેસને અવરોધે છે તે એક ખામી છે. આઇટી ઉદ્યોગોના ડેટા સ્ટોરેજ કેન્દ્રો માટે વડોદરા યોગ્યવડોદરાને આઇટી ઉદ્યોગોના ડેટા સ્ટોરેજ કેન્દ્રો માટે યોગ્ય બનાવી શકાય છે. વડોદરા શૈક્ષણિક સંસ્થાઓનું કેન્દ્ર છે. અને એનઇપી 2020 સાથે, IT ઉદ્યોગો સાથે ઇન્ટર્નશિપનું આયોજન કરી શકાય છે. આ મોડેલ વડોદરામાં શિક્ષણ અને આઇટી ઉદ્યોગ બંનેને વેગ આપી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:19 am

નાતાલ:દેવળોમાં ક્રિસમસની ઉજવણી,પ્રભુ ઈશુના જન્મ નિમિત્તે રાતે 12 કલાકે વિશેષ પ્રાર્થના કરાઈ

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની વડોદરા ઉપરાંત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. 24 ડિસેમ્બરે નાતાલ પહેલાની સાંજ (નાતાલ ઈવ)થી શહેરના લાલ ચર્ચથી માંડીને અન્ય દેવળોમાં કેરોલ સિંગિંગનું આયોજન કરાયું હતું. રાતે 10 વાગ્યા બાદથી દેવળોમાં બાળ ઈશુની પ્રતિમા મૂકવામાં આવી હતી. જ્યારે રાતે 12 કલાકે ભગવાન ઈશુના જન્મની પ્રાર્થના અને તેમની પરમ પૂજાનું વિશેષ આયોજન કરાયું હતું. લાલ ચર્ચ સહિત શહેરમાં આવેલા 10થી વધારે ચર્ચને રોશની કરાઈ હતી. 25મીએ નાતાલના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં પ્રાર્થના સભામાં ભાગ લઈ એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવશે. નાતાલની ઉજવણીમાં બાળકોને સાન્તા ક્લોઝે ગિફ્ટ પણ આપી હતી. ફાધર ડ્યુઆર્ટ ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે, નાતાલના દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. પોતાના જીવનમાં ભગવાન ઈસુએ શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો. નોલેજ શહેરના ફતેગંજમાં આવેલા પ્રખ્યાત લાલ ચર્ચ સાલ 1902માં બનાવવામાં આવ્યું હતું. જેને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલા 500 ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઈમારતનો વિસ્તાર કરાયો હતો. ચર્ચને એકપણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યાં વિના બનાવવામાં આવ્યું છે. જ્યારે ચર્ચના ટાવર ઉપર 1 ટન વજનનો ઘંટ પણ બેસાડવામાં આવ્યો છે. આ ઘંટની વિશેષતા એ છે કે, દરેક રવિવારે પ્રાર્થના સભાના આમંત્રણ સમયે તેમજ લગ્ન અને મરણ પ્રસંગે ઘંટ વગાડવામાં આવતો હતો. જ્યારે આ ચર્ચનું બાંધકામ પૂર્ણ થતાં ઈ.સ.1906થી 1908ના સમયગાળા દરમિયાન મિશનરીઓ પરદેશથી 3 ઘંટ લાવ્યા હતા. જ્યારે એક ટન વજનનો ઘંટ ઈ.સ. 1908માં લાલ ચર્ચ ઉપર મુકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:17 am

ભાસ્કર ઈનસાઈડ:કોવિડમાં ફરજ બજાવનાર 554 કર્મીના કોન્ટ્રાક્ટ રિન્યુની પ્રક્રિયા શરૂ ન કરાઈ

પાલિકાના આરોગ્ય વિભાગમાં 2016થી કોન્ટ્રાક્ટ પર કામ કરતા પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કરનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની પ્રક્રિયા શરૂ ન થતાં નારાજગી ફેલાઈ છે. કોરોના જેવા કપરા કાળમાં ઘરે ઘરે જઈ ફરજ બજાવનાર 554 કર્મચારીઓની એક મહિના પહેલાં શરૂ થતી રિન્યુ પ્રક્રિયા શરૂ નહીં કરાતાં કર્મીઓમાં ચિંતા ફેલાઈ છે. પાલિકાના આરોગ્ય વિભાગમાં 2016થી પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કર 11 માસના કોન્ટ્રાક્ટ પર કામકરે છે. પાલિકા દ્વારા આ ભરતી પ્રક્રિયા મેરિટના આધારે કરાતી હોય છે. કોરોનાકાળમાં આ કર્મીએ જીવના જોખમે ઘરે ઘરે જઈ ફરજ નિભાવી છે અને પૂર જેવી સ્થિતિમાં પણ લોકોના સંપર્કમાં રહ્યા છે. દર વર્ષે 11 મહિના બાદ કોન્ટ્રાક્ટ રિન્યુ કરાય છે, પરંતુ જાન્યુઆરીમાં પૂર્ણ થતા કોન્ટ્રાક્ટના રિન્યુની પ્રક્રિયા અત્યાર સુધી શરૂ થઈ નથી, જેથી 554 કર્મીમાં ચિંતા વ્યાપી છે. આરોગ્ય વિભાગની નવી ભરતી કરવાની પેરવી2024ના આંદોલન બાદ પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કર સહિતના કર્મીઓના પગાર પાવતી, પીએફ, ઈએસઆઇસીના બાકીના લાભો આપવાનું અને એક દિવસનો બ્રેક આપી કરાર લંબાવવાનું નક્કી કરાયું હતું. તાજેતરમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરોને પણ કર્મીઓને 1 દિવસ બ્રેક આપી કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા 18 નવેમ્બરે ઇ-મેલ કરાયો છે. જોકે આરોગ્ય વિભાગ નવી ભરતી પ્રક્રિયા કરવાની ફિરાકમાં હોવાથી કામગીરી કરી રહી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:15 am

સિટી એન્કર:જૂના પાદરા રોડ પર નો-પાર્કિંગનાં બોર્ડ લાગ્યાં,પોલીસે દંડ લેવાનું શરૂ કર્યું, આરટીઆઇમાં ખબર પડી, બોર્ડ પાલિકા-પોલીસે નથી લગાવ્યાં

જૂના પાદરા રોડ ટ્યૂબ કંપની પાસે જર્જરિત મકાનમાં રહેતા અને પાલિકાની રોડ શાખામાંથી નિવૃત્ત 77 વર્ષિય વૃદ્ધે મકાન પાસે ગેરકાયદે નો-પાર્કિંગનું બોર્ડ લગાવી દીધું હતું. જેને પગલે ટ્રાફિક પોલીસે 500થી વધુ વાહનોને દંડ કરતાં વૃદ્ધ સામે રહીશો દ્વારા કલેક્ટર, પોલીસ કમિશનરને આવેદન આપી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ નો-પાર્કિંગનું બોર્ડ કોણે લગાવ્યું તે માટે આરટીઆઈ કરાતાં 15 દિવસ બાદ જાણ થઈ હતી કે, આ નો-પાર્કિંગનું બોર્ડ પાલિકાએ લગાવ્યું નથી. જૂના પાદરા રોડના ગજાનંદ કોમ્પ્લેક્સના વેપારીઓ અને ભગવતી પાર્ક સોસાયટીના રહીશે આપેલા આવેદન અનુસાર, ટ્યૂબ કંપની પાસે અટલ બ્રિજના છેડા પાસેથી રાધાકૃષ્ણ ચાર રસ્તા તરફ ભગવતી પાર્ક સોસાયટી છે. જ્યાં રહેતા વૃદ્ધે રોડ પર ગેરકાયદે નો પાર્કિંગનાં 2 સાઈન બોર્ડ લગાડી ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોરી છે. ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગના બોર્ડ લગાવેલા સ્થળે કોઈ વાહન પાર્ક કરે તો દંડ તેમજ ચલણ આપે છે. આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. રહીશોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે કે, ગેરકાયદે નો પાર્કિંગનાં બોર્ડ લગાવી લોકો પાસે રૂપિયા પડાવતા અને ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોરતા વ્યક્તિ સામે કાયદેસરનાં પગલાં ભરો. કંટ્રોલમાં ફોન કરી વાહન પાર્ક કરનારને દંડ ભરવા દબાણ કરતોસ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વૃદ્ધ ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બોર્ડ મારફતે લોકોને ધમકાવીને રૂપિયા પડાવતો હતો. આ ઉપરાંત નજીકની હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને વાહનો મૂકવા બદલ ટ્રાફિક કંટ્રોલમાં ફોન કરી ગેરકાયદે દંડ કરવા દબાણ કરતો હતો. આ વ્યક્તિ પોતે લગાવેલું નો પાર્કિંગનું બોર્ડ પોલીસને બતાવતો અને દંડ કરાવતો હતો. અમે કલેક્ટરને રજૂઆત કરી છે, ગેરકાયદે બોર્ડ દૂર થવાં જોઈએવૃદ્ધે ગેરકાયદે નો-પાર્કિંગનાં બોર્ડ માર્યાં છે. જે અંગે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ.લોકો પાર્કિંગ કરે તો વૃદ્ધ રૂપિયા માગી પોલીસ બોલાવવાની ધમકી આપતો હતો. નો-પાર્કિંગનાં બોર્ડ દૂર થવાં જોઈએ. > હેતલ શાહ, સ્થાનિક વેપારી

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:14 am

ધીમી ગતિએ:દારૂ પીધેલાના કેસમાં નમૂનાના રિપોર્ટમાં વિલંબ, એસએસજીમાં 160 પ્રમાણપત્ર એક સાથે આવ્યાં

શહેરમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના નોંધાય છે, તેની મેડિકલ તપાસ સયાજી હોસ્પિટલમાં કરાય છે. જેમાં આરોપીના લોહીના નમૂના લીધા બાદ તેને તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સની પ્રયોગશાળામાં મોકલાય છે. જોકે તેનું સર્ટિફિકેટ આવતાં 2 મહિના થઈ જાય છે. પોલીસે સી-સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવાનું હોય છે. શહેરના વિવિધ પોલીસ મથકોમાં રોજ પ્રોહિબિશનના ગુના નોંધાય છે. જેમાં આરોપીના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે, લોહીમાં આલ્કોહોલ છે કે કેમ તેની વિગતો દર્શાવાય છે. આ સી-સર્ટિફિકેટ કોર્ટમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવો ગણાય છે. આરોપીની મેડિકલ તપાસ સયાજી હોસ્પિટલમા કર્યા બાદ લોહીનો નમૂનો ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સની લેબોરેટરીમાં મોકલાય છે. સયાજી હોસ્પિટલમાંથી રોજ 15 જેટલા નમૂના પોસ્ટથી ગાંધીનગર લેબમાં મોકલાય છે. જોકે નમૂના મોકલ્યા બાદ તેનું સર્ટિફિકેટ આવતાં 2 મહિનાથી વધારે સમય જતો રહે છે. મંગળવારે હોસ્પિટલમાં એક સાથે 160 સર્ટિફિકેટ આવ્યાં હતાં, જે 25 ઓક્ટોબરથી લઈ 11 નવેમ્બર સુધીના હતા. 11 નવેમ્બર બાદનાં સર્ટિફિકેટ તો હજુ મળ્યાં નથી. ઘણીવાર તો 200-300 સર્ટિફિકેટ સાથે આવે છે. વડોદરામાં લેબોરેટરી હોય તો સર્ટિફિકેટ વહેલાં મળી શકેફોરેન્સિક લેબોરેટરી સુરતમાં છે, પણ વડોદરામાં નથી. જેથી નમૂના ગાંધીનગર મોકલવા પડે છે. વડોદરામાં સુવિધા હોય તો 24 કલાકમાં પરિણામ આવી જાય. ગાંધીનગરમાં કામનું ભારણ વધારે હોય એટલે સર્ટિફિકેટ આવતાં સમય લાગે છે. > ડો.રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, સયાજી હોસ્પિટલ

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:14 am

ભાસ્કર ઈનસાઈડ:ભાંડવાડા,ફતેપુરા સહિતના વિસ્તારમાં ચેકિંગ, 54 લાખની વીજ ચોરી પકડાઈ

વીજ વિભાગની ટીમોએ બુધવારે સિટી વિસ્તારના ભાંડવાડા, ફતેપુરા અને મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાખો રૂપિયાની વીજચોરી પકડાઇ હતી. ચેકિંગને પગલે આસપાસના વિસ્તારોમાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એમજીવીસીએલની વિજિલન્સની 47 ટીમોએ બુધવારે સવારથી જ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એમજીવીસીએલના 119 કર્મચારીઓનો કાફલો વિવિધ વાહનોમાં જોડાયો હતો. આ મેગા અભિયાન દરમિયાન ટીમોએ ઘરે અને કોમર્શિયલ યુનિટોમાં જઇને 1578 વીજ મીટરો અને વીજ લાઇનનું ચેકિંગ કર્યું હતું. જેમાં વીજચોરીના 37 કેસ અને 16 વીજ ગેરરીતિ સહિતના 53 કેસ પકડાયા હતા. આ કેસોમાં એમજીવીસીએલએ તપાસ હાથ ધરીને રૂા.54.42 લાખની વીજ ચોરીની આકારણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વીજ ચેકિંગની કામગીરી સઘન બની છે. ઘરેલુ જોડાણથી કોમર્શિયલમાં લાઇટો ચાલુચેકિંગ દરમિયાન એવા કિસ્સા પણ પકડાયા હતા, જેમાં લોકોએ એક કનેક્શન લઇ અન્યને વીજળી આપવા પ્રયાસ કર્યો હતો. આવા કિસ્સા મોટેભાગે કોમર્શિયલ જોડાણ હોય તેવા યુનિટમાં બનતાં હોય છે. કોમર્શિયલ વીજ બિલ ન ભરવાને લીધે જોડાણ કટ થયા બાદ ડોમેસ્ટિકમાંથી કનેક્શન લેવાની ગેરકાનૂની હરકત કરતાં લોકો પણ આ ચેકિંગ દરમિયાન પકડાયા હતા. આવા કેસમાં પકડાયેલા લોકોએ નવું જોડાણ માગ્યું છે, પણ મળ્યું નથી જેવાં બહાનાં કાઢ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:13 am

ભાસ્કર એક્સક્લુસિવ:સિટી કમાન્ડ સેન્ટરમાં 3 છોડ કાઢવા 1 હજાર પેવર બ્લોક ઉખાડી નાખ્યા,હવે ફરી લગાવાશે

બદામડીબાગ સિટી કમાન્ડ સેન્ટરના પરિસરમાં સિસોટીકાંડ ફેઇમ ફાયરબ્રિગેડની કચેરી નીચે પેવર બ્લોકની બિનજરૂરી કામગીરી ચર્ચાનો વિષય બની છે. આ કામગીરી અંતર્ગત 1 હજાર જેટલા પેવર બ્લોક કઢાયા છે. છેલ્લા પખવાડિયાથી સિટી કમાન્ડ સેન્ટરની બિલ્ડિંગના નીચેના ભાગમાં પેવર બ્લોકનું કામ ચાલે છે. જ્યાં પેવર બ્લોક ઉખેડવાનું શરૂ કરતાં ફાયરબ્રિગેડના કર્મીઓને આશ્ચર્ય થયું હતું. આ વિશે સુપરવાઇઝરને પૂછતાં તેણે જવાબ આપ્યો કે, કેટલાક બ્લોક દબાયા હતા અને આ છોડવા (જે 3 હતા)ને દૂર કરવાના છે. ઉલ્લેખનીય છે કે, આ કામગીરી માટે 1 હજાર જેટલા પેવર બ્લોક ઉખેડ્યા છે. પેવર બ્લોક ઉખાડ્યા બાદ બુધવારે તેને બીજી તરફથી ફિટ કરવાનું શરૂ કરાયું હતું. આ કામગીરીના ખર્ચ વિશે ઝોન કચેરીના અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો, પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. બદામડીબાગ સિટી કમાન્ડ સેન્ટર પરિસરમાં ફાયરબ્રિગેડ કચેરીની નીચે 1 હજાર જેટલા પેવર બ્લોક કાઢી નખાયા છે. દીવાલ પર સળિયા મૂકાયા, કારણ આઇબીનો રિપોર્ટફાયર સ્ટેશન અને સિટી કમાન્ડ સેન્ટર પરિસરમાં ફાયરબ્રિગેડની કચેરી છે. બંને વચ્ચે દીવાલ છે, છતાં ફાયર સ્ટેશનથી કચેરી વચ્ચે દીવાલના રસ્તે આવ-જા રહે છે. જેથી દીવાલ પર સળિયા લગાવ્યા છે. સૂત્રો મુજબ આઇબીના ઇનપુટ બાદ સળિયા નખાયા છે. જીવાતો થતાં પેવર બ્લોક બદલ્યા છેજીવાત વધુ થતી હોવાથી પેવર બ્લોક બદલવા પડે તેમ હતા.ઉધઇ થવાની શક્યતા હતી. સાથે પાછળ પાણીની નલિકા નાખવાની હોવાથી તેની કામગીરી બાદ નવા પેવર બ્લોક નખાયા છે. જે વિસ્તારની વાત થઇ રહી છે તે વિશે તપાસ કરાવીશ. > મનીષ ભટ્ટ, આઇટી વિભાગના હેડ

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:11 am

મુશ્કેલીનો અંત આવશે:2 મહિનાથી વર્ક ઓર્ડર અપાયેલા 30 રોડનું કામ શરૂ થશે, એક જ દિવસમાં રૂા.230 કરોડનાં કામો મૂકાયાં

મુખ્યમંત્રી શુક્રવારે વડોદરા આવી 957 કરોડનાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી આવવાના હોવાથી વિકાસનાં કામોની યાદી અને રકમ વધારવા સ્થાયીમાં એક સાથે 230 કરોડનાં કામો મંજૂરી માટે મુકાયાં છે. જેમાં છેલ્લા બે મહિનાથી 62 કરોડના ખર્ચે બનનારા 30 રોડનાં ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે વડોદરા આવશે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર મુખ્યમંત્રી સર સયાજીરાવ નગરગૃહ ખાતે શહેર અને જિલ્લાના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં શહેરના અંદાજિત 957 કરોડનાં કામોનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પગલે પાલિકાની સ્થાયી સમિતિમાં 230 કરોડના સ્વિમિંગ પુલ, પાણીની લાઈન, રોડનાં કામ મંજૂરી માટે મુકાયાં છે. જે કામને સ્થાયીમાં મંજૂરી બાદ મુખ્યમંત્રી તેનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી આવવાના હોવાથી કોઇપણ ચર્ચા કે વિવાદ થયા વિના કામોને મંજૂરી આપશે તે પણ નક્કી છે. નોંધનીય છે કે, ઓક્ટોબરથી શહેરમાં 62 કરોડના ખર્ચે નિર્માણ થનાર 30 રોડ ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા, જે રોડનાં ખાતમુહૂર્ત શુક્રવારે મુખ્યમંત્રી કરશે. સ્થાયીની બેઠકમાં વધારાના અંદાજિત 90 કરોડનાં કામો મૂકાય તેવી પણ શક્યતા છે. સ્થાયીમાં મુકાયેલાં 230 કરોડનાં કામોની યાદી કામોની યાદી ખર્ચ રકમ મુખ્યમંત્રીના હસ્તે થનારાં કામો મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી સાથે બેઠક બાદ સાગમટે દરખાસ્તો આવીમુખ્યમંત્રીના આગમન પૂર્વે સ્થાયી સમિતિમાં 230 કરોડના કામો એક સાથે મૂકાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર બાજુથી દરખાસ્તો સ્થાયીને મળતી ન હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સામગટે દરખાસ્તો આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રીના બહાને એક સાથે 230 કરોડનાં કામો વિવાદ વિના મંજૂર થઈ જાય તે માટે મોટી રકમનાં કામો મૂકાયાં છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:09 am

સ્કિઝોફ્રેનિયા અને 'ધ બ્યૂટિફૂલ માઇન્ડ':2001ના ગણિતશાસ્ત્રી જોન નેશ વિશેની અમેરિકન બાયોગ્રાફિકલ ફિલ્મ

તાજેતરમાં જાણીતા હોલિવૂડ દિગ્દર્શક રોબ રેઇનર અને તેમની પત્ની મિશેલ રેઇનરની કથિત હત્યા બદલ એમના પુત્ર નિક રેઇનરની સંભવિત મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી અને આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો. પોતાના જ માતા-પિતાની હત્યા કરીકહેવાય છે કે નિક રેઇનર નશાકારક દ્રવ્યોના વ્યસન સામે ઝઝૂમીને બહાર આવ્યો અને એ વ્યસન દરમિયાન થયેલા અનુભવો, સંઘર્ષ અને જિંદગી પર તેણે 'લાઇફ ઓફ ચાર્લી' નામની ફિલ્મ બનાવી. નશાકારક દ્રવ્યોના વ્યસન સામેના સંઘર્ષમાંથી તથાકથિત બહાર આવેલો નિક કમનસીબે માનસિક બીમારી સ્કિઝોફ્રેનિયા સામે પણ ઝઝૂમી રહ્યો હતો અને રિપોર્ટ કહે છે કે સ્કિઝોફ્રેનિયાની દવા લેતો નિક એ દવાના ડોઝના બદલાવની અસર હેઠળ કે કારણે આક્રમક બનીને કે પછી સ્કિઝોફ્રેનિયા કે બીજા અન્ય કારણોસર પોતાના જ માતા પિતાની હત્યા કરી બેઠો. કહેવાય છે કે વૈશ્વિક સ્તરે લગભગ 20-24 મિલિયન લોકો સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે. જે લગભગ 300 માંથી 1 વ્યક્તિ ને અસર કરે છે. આ ક્રોનિક સ્થિતિ મનુષ્યના વિચાર, લાગણી અને વર્તનને અસર કરે છે અને એની સામે ફક્ત વ્યક્તિ નહીં પણ એના સમગ્ર કુટુંબીજનો અને પ્રિયજનોએ ઝઝૂમવું પડે છે એવી અસર આ માનસિક સ્થિતિ ઊભી કરે છે. વિજ્ઞાન, કલા અને મનોરંજન ક્ષેત્રે ઘણી પ્રભાવશાળી હસ્તીઓ સ્કિઝોફ્રેનિયા અથવા સમાન સ્પેક્ટ્રમ ડિસઓર્ડર સાથે જીવી છે. જેવા કે નોબેલ પારિતોષિક વિજેતા જ્હોન નેશ, વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ, વૈજ્ઞાનિક ન્યૂટન, અબ્રાહમ લિંકનના પત્ની મેરી ટોડ લિંકન વગેરે. સ્કિઝોફ્રેનિયા સામેના પડકારોને ફિલ્મમાં રજૂ કર્યાએમાંય 2001ના ગણિતશાસ્ત્રી જોન નેશ વિશેની અમેરિકન બાયોગ્રાફિકલ ફિલ્મ 'અ બ્યૂટિફૂલ માઇન્ડ' એ આ બીમારી સામે સંઘર્ષ કરતા કરતા, ગણિત ક્ષેત્રે અદ્ભૂત યોગદાન આપનારા જોન જેનું પાત્ર વિખ્યાત કલાકાર રસેલ ક્રોવ દ્વારા ભજવવામાં આવ્યું એ આ બીમારી વિશે અને એના સામેના પડકારોને બખૂબી રજૂ કરે છે. લેખિકા સિલ્વિયા નાસર દ્વારા લખાયેલ જોન નેશના અનધિકૃત જીવનચરિત્ર 'અ બ્યૂટિફૂલ માઇન્ડ' થી પ્રેરિત આ ફિલ્મના મેકર હતા જાણીતા હોલિવૂડ દિગ્દર્શક રોન હોવર્ડ. આ ફિલ્મમાં નેશની જગવિખ્યાત એવી અમેરિકન યુનિવર્સિટી પ્રિન્સટનમાં સ્નાતક અભ્યાસ પછીની સામાજિક, વ્યક્તિગત, વ્યવસાયિક અને સ્કિઝોફ્રેનિયા સામેની લડતની યાત્રાની કહાની છે. MIT થી પોતાની કારકિર્દી શરૂ કરનાર નેશ ત્યાંના પોતાના કામથી કંટાળીને, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના રહસ્યમય વિલિયમ પાર્ચરદ્વારા ઓફર થયેલા એક પ્રોજેક્ટ સાથે સંકળાય છે. આ કામમાં સોવિયેત કાવતરાને નિષ્ફળ બનાવવા માટે મેગેઝિન અને અખબારોમાં છૂપાયેલા પેટર્ન ઓળખવી એ તેનું કામ. આ કામ દરમિયાન એ કેટલાંક મિસ્ટીરિયસ સંપર્કો બનાવે છે અને આખરે નેશ તેના આ કામ પ્રત્યે વધુને વધુ ઝનૂની બનતો જાય છે અને પેરાનોઇડ બનવા લાગે છે. અને ત્યાંથી શરુ થાય છે એની આ બીમારી સામેના ટકરાવની કહાની જે અંતે એને માનસિક રોગના ઉપચાર કેન્દ્રમાં લઇ જાય છે ત્યાં ડૉ. રોઝેન જોનને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન કરે છે. તેની પત્ની, એલિસિયાના પ્રેમ અને ટેકાથી તે આખરે તેની સ્થિતિને નિયંત્રિત કરવાનું શીખે છે અને 1994માં તેને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા સાથેના કષ્ટદાયક સંઘર્ષ સાથે લડતાં લડતાં નેશ, ગેમ થિયરીમાં ક્રાંતિકારી એવી 'નેશ ઇક્વિલિબ્રિયમ' બનાવે છે અને અંતે 1994માં ઇકોનોમિક્સમાં પ્રદાન બદલ નોબેલ પ્રાઇઝ જીતીને વિજેતા બનીને બહાર આવે છે. એક તેજસ્વી પણ સામાજિક રીતે ઓકવર્ડ ગણિતશાસ્ત્રી જોન નેશ, પ્રેમ અને એના રહસ્યમય સમીકરણ જ અંતે આ દુનિયાને ટકાવી રાખે છે એ વાત સુંદર રીતે સાબિત કરીને બતાવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

ગણેશ ગોંડલ-રાજુ સોલંકીએ વેર ભૂલી સમાધાન કેમ કર્યું?:સોલંકીનો સ્ફોટક ખુલાસો- જયરાજસિંહે 2 કરોડની ઓફર કરી હતી, આખા પ્રકરણ પાછળ અનિરૂદ્ધસિંહનો હાથ

મને સમાધાન માટે જયરાજસિંહે 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી....-રાજુ સોલંકી આ વિવાદ 2 દિવસમાં જ પૂરો થઇ જવાનો હતો પણ અમુક લોકોએ રાજકીય રંગ આપ્યો....-ગણેશ ગોંડલ સૌથી પહેલાં આ તસવીર જુઓ એક સમયે જે લોકો સામસામે હતા તે લોકો હવે એકબીજાની સાથે છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામે બાથ ભીંડનારા રાજુ સોલંકીએ પિતા પુત્રને જાહેરમાં ચેલેન્જ ફેંકી હતી કે હું ગોંડલમાં આવીને જાહેરમાં ફરીશ, થાય તે કરી લેજો. તેણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરીને જેલમાં મોકલ્યો હતો. આ જ રાજુ સોલંકીએ હવે અચાનક ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લેતા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ટોક ઓફ ધ સ્ટેટ બનેલા મુદ્દે દિવ્ય ભાસ્કરે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો ગણેશ ગોંડલના શબ્દો.... 'આખા દલિત સમાજની લાગણી હતી કે અમારૂં અને રાજુભાઇનું સુખદ સમાધાન થાય. સમાજની લાગણી ધ્યાને લઇ આ રસ્તો અપનાવ્યો છે. ગોંડલમાં વસતા દલિત સમાજના લોકો 30 વર્ષથી મારા પરિવાર સાથે જોડાયેલા છે. ગોંડલ દલિત સમાજના આગેવાનો તેમને જણાવ્યું કે આ વેરના બીજ આગળ ન લઇ જાઓ અને સુખદ અંત લઇ આવો. રાજુભાઇ સોલંકી પણ માની ગયા અને સમાજના આગેવાનોના કહેવાથી અમે પણ સમાધાનનો રસ્તો અપનાવ્યો છે.' 'રાજુ સોલંકીને દલિત સમાજમાંથી દૂર કરવાની વાત ક્યાંથી આવે? કારણ કે આ સમાધાનમાં દલિત સમાજના મુખ્ય આગેવાનો હાજર હતા. જે રાજુભાઇની તરફેણમાં હતા. અમુક 2-5 લોકો જે એવું બોલતા હોય તેને સમાજમાં કોઇ ધ્યાને લેતું નથી.' 'અમારે થોડા દિવસ પહેલાં જ સમાધાન થઇ જાત પરંતુ અનિરૂદ્ધસિંહ રીબડાના લોકો દ્વારા રાજુ સોલંકીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આવું રાજુભાઇ જ પોતાના મોંઢામાંથી બોલ્યા છે કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, મને પૈસા આપીને ગીતાબાનું રાજીનામું માંગવા કહેવાયું હતું. રાજુભાઇએ કહ્યું છે કે તેણે આ બધું અનિરૂદ્ધસિંહના કહેવાથી કર્યું હતું.' ગણેશ ગોંડલ બાદ દિવ્ય ભાસ્કરે રાજુ સોલંકી સાથે પણ ખાસ વાતચીત કરી હતી. આ સમગ્ર મામલે રાજુ સોલંકીએ શું કહ્યું તે વાંચો તેમના જ શબ્દોમાં.... 'મને ગણેશ ગોંડલ સાથે સમાધાનનો વિચાર આવ્યો હતો કેમ કે હું જેલમાંથી છૂટ્યો તે પછી મારા જ સમાજના જૂનાગઢ જિલ્લાના આગેવાને મારી વિરૂદ્ધ ફરિયાદ કરી અને જામીન રદ કરવાની માગણી કરી હતી. મારો સાથ આપવાને બદલે મારા જ સમાજના લોકો મને હેરાન કરતા હતા જેનાથી કંટાળીને મેં સમાધાન કર્યું છે.' 'જયરાજસિંહ તરફથી પહેલાં પણ કોઇ હેરાનગતિ નહોતી અને અત્યારે પણ નથી. જયરાજસિંહ જૂનાગઢના ભાણેજ છે, તેમના મામા વનરાજસિંહ રાયજાદા સાથે મારે 30 વર્ષ જૂના સંબંધો છે. હું વનરાજસિંહને મળવા ગયો હતો અને કહ્યું હતું કે મારે જયરાજસિંહ સાથે સમાધાન કરવું છે.' 'મારા પત્નીને શરતી જામીન મળ્યાં હતા પરંતુ તેની વિરૂદ્ધ દેવદાનભાઇ મૂછડિયા અને રાજકોટ જિલ્લાના આગેવાન યોગેશભાઇ ભાશાએ એસપીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવા ગયા હતા કે રાજુ સોલંકીના પત્નીને જૂનાગઢ જિલ્લામાં રહેવાની મનાઇ હોવા છતાં તે જૂનાગઢ જિલ્લામાં રહે છે એટલે તેના શરતી જામીન રદ કરો. આમાં ક્ષત્રિય સમાજના કોઇપણ આગેવાન આવેદન પત્ર આપવા માટે ગયા નહોતા. માત્ર દલિત સમાજના આગેવાને અમારી વિરૂદ્ધમાં આવેદન આપ્યા અને અમને હેરાન પરેશાન કર્યાં એટલે મેં નિર્ણય લીધો કે હવે મારે સમાધાન કરી લેવું જોઇએ.' 'એકપણ રૂપિયાના લોભ લાલચ વગર મેં સમાધાન કર્યું છે. અમારા સમાજના મેંદરડા તાલુકાના એક આગેવાન છે તેને અલ્પેશ ઢોલરિયાએ વાત કરી હતી કે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થતું હોય તો જે કંઇ પૈસા જોઇતા હોય તે આપીએ. એ સમયે મને 2-3 કરોડ રૂપિયાની ઓફર હતી પણ મેં પૈસા નથી લીધા.' 'જ્યારે અકસ્માત થયો હતો અને ઝઘડો થયો હતો ત્યારે અમારા સમાજના તોડટાળિયા આગેવાનોને પૈસાની લાલચ હતી કેમ કે સામા પક્ષે મોટા માણસના દીકરા (જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ) હતા. અમારા સમાજના આવા લોકોને સમાજ સાથે કોઇ પ્રેમ નથી પરંતુ ક્યાંકથી પૈસા મળતા હોય તો સમાજ માટે લડવા જતા રહે છે. આવા આગેવાનોને એવું હતું કે આ ઝઘડામાંથી તેમને કંઇક રૂપિયા મળશે જેથી ખોટા આક્ષેપો કરે છે.' 'મને અનિરૂદ્ધસિંહ ડિસ્ટર્બ નથી કરતાં પણ રાજુ સખિયા, દિનેશ પાતર જેવા તેના 2-4 માણસો ડિસ્ટર્બ કરે છે.' 'ધોરાજીમાં થનારા આંદોલનમાં કોઇને રસ નથી. ઘોઘાવદરની બેઠકમાં પણ ફક્ત 15-20 જણા જ હતા. ધોરાજીમાં પણ જે લોકો વિઘ્ન સંતોષી છે, જેને કોઇ લાલચ છે તેવા 20-25 જણા જ ભેગા થશે. બાકીનો સમાજ તો મારી સાથે જ છે.' 'ભવિષ્યમાં જો અનિરૂદ્ધસિંહ રીબડા તરફથી કોઇ હેરાનગતિ થશે તો સમય આવ્યે જોયું જશે, મને પણ ભગવાને 2 હાથ આપ્યાં છે અને તેમને (અનિરૂદ્ધસિંહને) પણ 2 હાથ આપ્યાં છે.' 'જૂનાગઢમાં મારા દીકરા અને ગણેશ ગોંડલ વચ્ચે અકસ્માત અને ઝઘડો થયા પછી ફરિયાદ થઇ અને ગણેશ ગોંડલની ધરપકડ થઇ. તેના પછીનો આખો વિષય ડાયવર્ટ થયો. મારે ગોંડલ આવવાનું થયું, મેં ગીતાબાનું રાજીનામું માંગ્યું એ બધું રીબડાવાળાની સૂચનાથી જ થયું હતું. રીબડાવાળાની સૂચનાથી જ ગાંધીનગર આવવાનું થયું હતું. આ આખા પ્રકરણ પાછળ અનિરૂદ્ધસિંહનો હાથ હતો.' 'અમારા સમાજનો જે જમણવાર થયો હતો તે અનિરૂદ્ધસિંહે કર્યો હતો. અમારા સમાજના મોટા આગેવાનો અનિરૂદ્ધસિંહ પાસેથી પૈસા પણ લઇ આવ્યા છે. ' અહીં રાજુ સોલંકીની વાત પૂરી થાય છે. જ્યારે રાજુ સોલંકી ગણેશ સામે પડ્યા હતા ત્યારે દલિત સમાજ તેમની પડખે ઊભો રહ્યો હતો. હવે તેમણે સમાધાન કરી લેતા દલિત સમાજ અને તેમાં પણ ખાસ કરીને ભીમ સેના ગુસ્સે ભરાઇ છે. રાજુ સોલંકીને સમાજમાંથી બહાર હાંકી કાઢવાની કવાયત શરૂ કરી છે. જેના માટે જાન્યુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં મોટું સંમેલન યોજવાનું નક્કી કરાયું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

હવે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનવા લાગી ઇમારતો:મહેંદીની જેમ મશીન કોંક્રિટ પાથરી બાંધકામ કરશે, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આર્મીના બંકર બનાવ્યા

જરા વિચારો… કોઈ બિલ્ડિંગ ઈંટોથી નહીં પરંતુ મશીનની મદદથી 3D પ્રિન્ટીંગ મારફતે તૈયાર થાય તો!!! એટલે કે જેમ હાથમાં મહેંદી મુકાય છે એમ પ્રોગ્રામિંગવાળુ મશીન લેયર પ્રમાણે કોંક્રિટ પાથરીને આખેઆખી ઇમારત ઉભી કરી દે. વાત થોડી અજૂગતી છે પણ અમદાવાદના ત્રણ મિત્રોએ આ ટેક્નોલોજીને ડેવલપ કરી છે. જેના થકી તેઓએ ભારતીય સેના માટે મજબૂત બંકર બનાવવાથી લઈને અદાણી જેવી કંપનીઓ માટે અલગ-અલગ પ્રકારના બિલ્ડિંગના સ્ટ્રક્ચર તૈયાર કર્યા છે. ગાંધીનગર IITમાં ભણતા ત્રણ મિત્રોને ચાની કિટલી પર આ પ્રોજેક્ટનો વિચાર આવ્યો, 10 હજાર રુપિયાની પોકેટ મનીમાંથી સ્ટાર્ટઅપની કામગીરી થઈ અને ગણતરીના વર્ષોમાં જ આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે. ઈંટ અને બ્લોકનું સ્થાન લેનાર 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી છે શું? આ ટેક્નોલોજી કેવી રીતે ડેવલપ કરી? તેનાથી હાલમાં કેવા સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યાં છે? પરંપરાગત રીતે થતાં બાંધકામની સરખામણીએ આ ટેક્નોલોજીથી તૈયાર થતાં સ્ટ્રક્ચરની મજબૂતી કેવી હોય છે? આવનારા વર્ષોમાં આ ટેક્નોલોજીથી કેવી ઇમારતો બની શકશે? આવા મહત્વના સવાલોના જવાબો જાણવા માટે દિવ્ય ભાસ્કરે MiCoB કંપનીના કો-ફાઉન્ડર અંકિતા સિન્હા અને રિષભ માથુર સાથે વાતચીત કરી હતી. 3 સાહસિક મિત્રોની કમાલ કંપનીના કો-ફાઉન્ડર અંકિતા સિન્હાએ કોલેજના દિવસોને યાદ કરતા વાત શરૂ કરી. રિષભ અને શશાંક તેમના જૂનિયર હતા. શશાંક 3D કોંક્રિટ પર કામ કરતા હતા. એક દિવસ ચાની કિટલીએ બેઠા હતા ત્યારે તેમણે બાંધકામ ક્ષેત્રે ચાલતા ક્વોલિટી ઇશ્યુ મુદ્દે ચર્ચા કરી હતી. પછી ત્રણેયે મળીને એ દિશામાં આગળ વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ શું લાવી શકાય? આ સવાલના જવાબરૂપે ત્રણેયને 3D કોંક્રિટ ટેક્નોલોજીનો વિચાર સૂઝ્યો. ત્યારબાદ 2018માં ત્રણેય મિત્રોએ નક્કી કરેલા સાહસનું પહેલું સ્ટેપ હતું રિસર્ચ. સિવિલ કંસ્ટ્રક્શનમાં નવી ટેક્નોલોજીને લાવવા માટે રિસર્ચનું કામ ચાલતું હતું, એ સમયે કોરોનાએ દસ્તક દીધી. એકબાજુ લોકડાઉનને કારણે સંશોધન-સ્ટડી માટે પૂરતો સમય મળ્યો અને બીજી બાજુ IIT ગાંધીનગરે સપોર્ટ કર્યો. નવી ટેક્નોલોજી ઘર બનાવવાની રીત બદલી દેશે કંપનીના કો-ફાઉન્ડર રિષભ માથુરના મતે અત્યાર સુધી કંસ્ટ્રક્શનમાં પહેલાં ઇંટો, પછી બ્લોક અને ધીરે-ધીરે ટેક્નોલોજીનું પ્રમાણ વધી રહ્યું છે. 3D કોંક્રિટ પ્રિન્ટીંગમાં રોબોટની મદદથી સાઇટ પર પહેલાં મોડ્યુલર બનાવાય છે. જેમાં અલગ-અલગ પ્રકારના આકારવાળા પાર્ટમાં તેને તૈયાર કરીએ છીએ. પછી તૈયાર થયેલા પાર્ટ્સને સાઇટ પર લઇ જવાય છે અને તેને જોડીને એટલે કે સામાન્ય ભાષામાં એસેમ્બલ કરીને કોઇપણ પ્રકારનું ઘર કે ઇમારત તૈયાર કરી શકાય છે. અઘરામાં અઘરી કંસ્ટ્રક્શનની ડિઝાઇન પણ સરળતાથી બની શકે છે. એમના શબ્દોમાં કહીએ તો આ ટેક્નોલોજીમાં મટીરિયલ સાયન્સનો કમાલ છે. નાનકડા મશીનથી મસમોટી કંપની ઊભી કરી આઇડિયા આવ્યા બાદ તેને સફળ કરવા પાછળના પ્રયાસોને યાદ કરતા અંકિતા સિન્હાએ કહ્યું, શશાંક અને રિષભે એમેઝોન, ઇન્ડિયા માર્ટ, અલીબાબા જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પાર્ટ્સ ખરીદીને પોતાના હાથે એક નાનો સેટઅપ તૈયાર કર્યો હતો. ત્યારે માત્ર એક મીટરનું મશીન તૈયાર કર્યું હતું. મશીનમાં મટીરિયલ કયું વાપરવાનું છે તેનું રિસર્ચ પણ પહેલાંથી જ કરી રહ્યા હતા એટલે કંઇક બનાવવાનું વિચાર્યું. તો સવાલ ઉઠ્યો કે બનાવીએ શું? આ સવાલનો જવાબ મેળવવા માટે ત્રણેય સાહસિક મિત્રોએ IIT ગાંધીનગરનો કોન્ટેક્ટ કર્યો અને પૂછ્યું કે અમારે આ 3D પ્રિન્ટિંગ મશીનમાં શું બનાવવું જોઇએ? તો તેમણે કહ્યું ફર્નિચર બનાવી શકો. આ રીતે એક પ્રોડક્ટ તૈયાર કરી જે બધાને ખૂબ પસંદ પડી. આર્મીની ચેલેન્જે નવી દિશા દેખાડી પહેલો પ્રયાસ સફળ ગયો. પછી વર્ષ 2020 આવતા આવતા અંકિતા, રિષભ, શશાંકની ટીમે ઇન્ક્યુબેશન પણ નોંધાવી લીધું. આ દરમિયાન કેમ્પસમાં આર્મી ડિઝાઇન્સ બ્યુરોના કેટલાક અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને જાણેકે કિસ્મતે પડખું ફેરવ્યું. આર્મીના અધિકારીઓએ MiCoB કંપનીએ 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીની કેટલીક વસ્તુઓ જોઈ અને સવાલ કર્યો, આનાથી કઇ કઇ વસ્તુઓ બની શકે? એ દિવસને યાદ કરતા અંકિતા સિન્હા કહે છે, અમે જવાબમાં ઘર, બંકર, સ્ટ્રક્ચર બની શકે એવું કહ્યું હતું. આટલું સાંભળીને આર્મી ઓફિસરે અમે ચેલેન્જ આપી કે અમારે એક એવા સ્ટ્રક્ચરની જરૂર છે જે કોઇપણ જગ્યાએ લઇ જઇ શકાય. સાથે જ ક્વોલિટી ઓફ કંસ્ટ્રક્શન હાઇ હોય જેથી તેને બોર્ડર વિસ્તારમાં દુશ્મનો હુમલો કરી શકે એવી જગ્યાએ પણ લગાવી શકાય. એ પછી લગભગ 9 મહિના જેટલો સમય પ્રોજેક્ટ માટે વાતચીતમાં ગયો. આર્મી ઓફિસરે શરૂઆતના તબક્કે ટેસ્ટિંગ કર્યા, કેટલાક ઇનપુટ આપ્યા. આર્મીના આ જ ઇનપુટના આધારે 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી આધારિત એક સ્ટ્રક્ચર તૈયાર થયું. પોખરણમાં રોકેટ લોન્ચર, હેન્ડ હેડ લોન્ચર બધા જ પ્રકારે આ સ્ટ્રક્ચરને પારખવામાં આવ્યું. ત્યારબાદ T-90 ટેન્ક દ્વારા ટેસ્ટિંગ થયું અને 3D કોંક્રિટ પ્રિન્ટીંગથી બનેલું સ્ટ્રક્ચર આર્મીએ પાસ કરી દીધું. પહેલા જ ઓર્ડરમાં બંકર બનાવ્યા ગુજરાતમાં બનેલા 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીના પહેલા ટેસ્ટ મોડલ માટે પણ આર્મીએ ચાર્જ ચુકવ્યો. પહેલું બંકર બનાવ્યા બાદ 8 બંકરનો ઓર્ડર મળ્યો. આજે ઇન્ડિયન આર્મીને 500થી વધુ બંકર બનાવી આપ્યા છે. દુશ્મનોનો ખાત્મો કરવા બોર્ડર પર લગાવ્યા છે. MiCoB કંપનીના ફાઉન્ડર્સને પણ અંદાજો ન હતો કે સ્ટ્રક્ચર આટલું મજબૂત બનશે. ત્યારબાદ આ ત્રણેય જણાની ટીમને ખાતરી થઇ ગઇ કે તેમણે બનાવેલું સ્ટ્રક્ચર એકદમ બરાબર છે. સિમેન્ટ ઓછી વપરાય ને ટકાઉ બાંધકામ મળે મજાની વાત એ છે કે કંસ્ટ્રક્શનની તુલનાએ આ ટેક્નોલોજી પર્યાવરણની દૃષ્ટિએ પણ ઘણી સારી છે. કંસ્ટ્રક્શનમાં સૌથી વધુ સિમેન્ટ વપરાય છે જ્યારે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં સિમેન્ટના ઓછા વપરાશથી કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટાડી શકાય છે. સ્ટ્રક્ચરમાં 20 થી 30 ટકા સિમેન્ટનો ઉપયોગ ઓછો થાય છે. સિમેન્ટનો ઓછો ઉપયોગ છતાંય મજબૂતી એટલી જ હોવાનો દાવો કરતા અંકિતા સિન્હા કહે છે, અમારા સ્ટ્રક્ચરમાં બધી જ જગ્યાએ સોલિડ નથી હોતા. પણ એનો મતલબ એવો નથી કે સ્ટ્રક્ચર સ્ટ્રોંગ નથી બનતા. રિપોર્ટ જુઓ તો ખ્યાલ આવી જશે કે સ્ટ્રેન્થ એટલી જ જોવા મળશે. કારણ કે સ્ટ્રક્ચરમાં ઈન્સ્યુલેશન ખૂબ સારી રીતે થાય છે. આ ઉપરાંત, પ્લાન્ટમાં વોટર રિસાયકલ, કોંક્રિટ વેસ્ટનો રિયુઝ કરવામાં આવે છે. રક્ષા અને બાંધકામ ક્ષેત્રે મોટી ક્રાંતિ વિદેશમાં તો 8 માળ સુધીની ઇમારતો આ ટેક્નોલોજી દ્વારા બની રહી છે. જ્યારે MiCoB કંપનીએ વિકસાવેલી 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી 3 માળ સુધીની ઇમારત બનાવી ચુકી છે. અત્યારે ભલે મોટા સ્ટ્રક્ચરમાં ઓછી સફળતા મળી છે પરંતુ આવનારા દિવસોમાં આ ટેક્નોલોજીની મદદથી વધુ ઝડપી અને સસ્ટેનેબલ ઇમારતો ઉભી થઇ શકે એ માટે ટેક્નોલોજીને અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. અંકિતા સિન્હાના મતે, 3D પ્રિન્ટિંગ વડે તૈયાર થતાં સ્ટ્રક્ચર માટે દર વખતે પાર્ટ પાડવા જરૂરી નથી, ટીમ પાસે એવી ટેક્નોલોજી છે જેમાં કોઇ પાર્ટ પાડ્યા વગર પણ માળખું તૈયાર કરી શકે છે. જેમકે પબ્લિક ટોયલેટ એક જ પાર્ટમાં આખું તૈયાર થઇ શકે છે. જ્યારે બંકર બનાવવા માટે નાના-નાના પાર્ટ તૈયાર કરવામાં આવે છે. 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી ડિઝાઇન પર જરૂરથી નિર્ભર કરે છે. પરંતુ તેનાથી થતું બાંધકામ પરંપરાગત પદ્ધતિ જેવું જ થાય છે. આ ટેક્નોલોજીમાં મહત્વનું પાસું એ છે કે અંકિતા સિન્હા અને તેમની ટીમ માળખું તૈયાર થયા પછી તેને ચેક કરીને રિપોર્ટ આપે છે અને થર્ડ પાર્ટી ટેસ્ટ પણ કરાવે છે. થર્મલ ઇન્સ્યુલેશનવાળી દીવાલ તાપમાન સંતુલિત રાખશે કંસ્ટ્રક્શનની દુનિયામાં અત્યારે સૌથી મોટો પડકાર યોગ્ય સમયે બાંધકામ પૂરું કરવાનો અને સલામતીનો છે. કંપનીના કો-ફાઉન્ડર રિષભ માથુરનું માનવું છે કે તેમણે વિકસાવેલી ટેક્નોલોજીથી પ્રોજેક્ટનો સમય બચાવી શકાશે. સાઇટ પર ચાલતા કામની સાથે જ ફેક્ટરીમાં પેરેલલ થર્મલ ઇન્સ્યુલેશનવાળી દીવાલ તૈયાર થશે. જે બહારનું અને અંદરનું તાપમાન અલગ રાખી શકશે. બહારનું વાતાવરણ ગરમ હોય તો પણ અંદર ઠંડક મેઇન્ટેઇન થઇ શકે છે. જે કામ કંસ્ટ્રક્શન વર્ક સામાન્ય રીતે પૂરું થતાં 5થી 6 મહિના લાગે છે તે આ ટેક્નોલોજીની મદદથી એક મહિનામાં પૂર્ણ થઇ જાય છે. 3 મિત્રોના સ્ટાર્ટઅપે ગયા વર્ષે 12 કરોડનું ટર્નઓવર કર્યુંસ્ટાર્ટઅપ કંપની MiCoBનો અર્થ છે માઇક્રો કોંક્રિટ બિલ્ડર્સ. એટલે કે બધા જ પાર્ટીકલ્સ માઇક્રો સાઇઝના છે. 3 મિત્રો દ્વારા શરૂ થયેલી કંપનીમાં આજે 31 લોકોનો સ્ટાફ છે. માત્ર 10 હજારમાં પહેલી પ્રોડક્ટ તૈયાર કરીને શરૂઆત કરી હતી. જે આજે કરોડોનું ટર્નઓવર ધરાવે છે. ગયા વર્ષે 12 કરોડની રેવન્યૂ જનરેટ કરી છે. આર્મી તેમજ અદાણી કંપની માટે પણ સ્ટ્રક્ચર તૈયાર કરી આપે છે. આજે તો સોનીપતમાં એક યુનિટ શરૂ કર્યું છે પરંતુ, આવનારા વર્ષોમાં નવા 25 જેટલા પ્લાન્ટ શરૂ થાય તેવું કંપનીના ફાઉન્ડર્સનું આયોજન છે. સૌથી મોટો માઇલસ્ટોન બંકર બનાવાનો કોન્ટ્રાક્ટ હતોએમની આ જર્નીમાં સૌથી મોટો માઇલસ્ટોન હતો એ ઇન્ડિયન આર્મીનો બંકર બનાવવાનો કોન્ટ્રાક્ટ. પણ આ સિદ્ધિ પહેલાં ત્રણ સાહસિકોએ ઘણી મહેનત કરી હતી. પ્રાથમિક તબક્કે તો કંપનીની પહેલી ચેલેન્જ હતી તેમનું અસ્તિત્વ. એ સમયે 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી શું છે એ કોઇને ખબર જ નહોતી. કેટલાક તો મશીનથી ઘર બનાવી આપશો? આવું પૂછીને હસતા, ટિપ્પણીઓ કરતા. કહેતા કે બાળકો છે ખાલી બોલી નાખે છે. પરંતુ, જ્યારે હિંમત હાર્યા વગર 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીથી સ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલું રાખ્યું તો દુનિયાને આપોઆપ જવાબ મળી ગયો. I-HUB અને IIT ગાંધીનગરે ભરપૂર સપોર્ટ કર્યો ગુજરાતમાં આ ટેક્નોલોજીનું ચલણ વધી રહ્યું છે ત્યારે MiCoB કંપનીની શરૂઆત કેવી રીતે થઇ તે વિશે અંકિતા સિન્હા કહે છે, પહેલાં તો ડિફેન્સ સેક્ટરને પકડી રાખ્યું અને તેમાં નવા નવા ઇનોવેશન કર્યા. જે બંકર બનાવ્યા હતા તે ઇમ્પ્રુવ કર્યા. આ રીતે અમારી જર્નીની શરૂઆત થઇ. આ જર્નીમાં અમને I-hub, IIT ગાંધીનગર અને ગુજરાત સરકારે અમને ગ્રાન્ટ આપીને ખૂબ જ સપોર્ટ કર્યો છે. SSIP પોલિસીમાં સ્ટાર્ટઅપ માટે 10 લાખ સુધીની ગ્રાન્ટ મળે I-HUBના પ્રોગ્રામ હેડ જયકુમાર જોષી સાથે પણ વાત કરી. જેઓ આ ત્રણ મિત્રોના સ્ટાર્ટઅપ અંગે વાત કરે છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં SSIP (Student Startup and Innovation Policy) પોલિસી હેઠળ સુજન સ્કીમમાંથી ત્રણેય મિત્રોને ગ્રાન્ટ મળી. આ ફંડમાંથી તેમણે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો પહેલો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. આજે તેમની રિયલ-ટાઇમ સ્ટ્રક્ચર સુધીની સર્વિસ પ્રોવાઇડ કરે છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની કેટલીક અલગ અલગ સ્કીમ છે. જેના થકી સ્ટાર્ટઅપને I-HUB દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. SSIP પોલિસી હેઠળ સુજન સ્કીમ દ્વારા I-HUB 10 લાખ સુધીની ગ્રાન્ટ સ્ટાર્ટઅપ માટે આપે છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ફંડનું એક કોર્પ્સ છે. જેના થકી 30થી 40 લાખ સુધીની ગ્રાન્ટ અને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે મદદ કરીએ છીએ. આપણી પાસે અન્ય ગર્વમેન્ટની સ્કીમ છે તેના થકી અમે તેમને મદદ કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

ગોપાલ ઈટાલિયાનું દિલનું દર્દ છલકાયું?:લેટર લખીને ઈન્સ્ટાગ્રામમાં મુકતા ચર્ચા ઉપડી; બાપ રે, BJPના નેતા ના બોલવાનું બોલી ગયા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 am

ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં 85 વર્ષના વૃદ્ધ પાસેથી 9 કરોડ પડાવાયા

- મની લોન્ડરિંગ, આતંકી કૃત્યોમાં સંડોવણીની દમદાટી - ઠગાઈના પાંચ કરોડ જમા લેનારો ખાતાંધારક 24 કલાકમમાં પકડાયો : આ ખાતાં બાબતે આવી છ ફરિયાદો મુંબઈ : દક્ષિણ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક સાથે ફ્રોડસ્ટરોએ રૂ. નવ કરોડની છેતરપિંડી કરી હતી. ફ્રોડસ્ટરોએ મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ માટે તેમના ખાતાનો ઉપયોગ થયો હોવાનું જણાવી તેમની ડિજિટલ એરેસ્ટ કરી આ રકમ પડાવી હતી. આ બાબતે વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર પોલીસે કેસને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કરી એક કંપનીના ૨૭ વર્ષના ડિરેકટરની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 25 Dec 2025 5:35 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુપીના મંત્રીએ ઉન્નાવ રેપ પીડિતાની મજાક ઉડાવી; ચાંદી ₹8,000 મોંઘી; વૈભવે 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોના અને ચાંદીના રેકોર્ડ તોડવાના હતા. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹8,000નો વધારો થયો. બીજા મોટા સમાચાર ઉન્નાવ બળાત્કાર કેસ સાથે સંબંધિત હતા. યુપીના એક મંત્રીએ પીડિતાની મજાક ઉડાવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે અટલ બિહારી વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓનું અનાવરણ કરશે. 2. ગૃહમંત્રી અમિત શાહ 'અભ્યુદય મધ્યપ્રદેશ વિકાસ સમિટ'નું ઉદ્ઘાટન કરશે. કાલના મોટા સમાચારો 1. ઉન્નાવ રેપ પીડિતા રાહુલને મળી, બોલી-રેપિસ્ટને જામીન મળ્યા:મને બંધક બનાવી હતી, મારા જીવને ખતરો; UPના મંત્રીએ પીડિતાની મજાક ઉડાવી યુપીના ઉન્નાવ રેપ કેસની પીડિતાએ બુધવારે સાંજે દિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 10 જનપથ સ્થિત કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નિવાસસ્થાને થઈ. જોકે, મુલાકાતની તસવીરો હજુ સુધી આવી નથી. પીડિતાએ કહ્યું, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા વિનંતી કરી હતી, પરંતુ મને કોઈ મળ્યું નહીં. રાહુલ ભૈયાનો પોતે ફોન આવ્યો અને તેમણે મને મળવા બોલાવી. મેં સોનિયા ગાંધી અને રાહુલ ભૈયા સાથે મુલાકાત કરી. મેં તેમને જણાવ્યું કે મને બંધક બનાવવામાં આવી હતી. મારા જીવને ખતરો છે. રાહુલ ભૈયાએ મને કહ્યું કે આ લડાઈમાં તેઓ મારી સાથે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચોખ્ખી હવા નથી, તો એર પ્યુરિફાયર પર ટેક્સ કેમ:સરકારને દિલ્હી હાઈકોર્ટનો સવાલ; ગડકરીએ સ્વીકાર્યું- 40% પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરથી ફેલાઈ રહ્યું છે દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને અધિકારીઓને પૂછ્યું કે જ્યારે રાજધાનીમાં હવાની સ્થિતિ ઇમરજન્સી જેવી બનેલી છે ત્યારે એર પ્યુરિફાયર પર 18% GST શા માટે લગાવવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે જો સરકાર લોકોને સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવી શકતી નથી તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પરનો ટેક્સ જ ઓછો કરી દે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગડેલાની ડિવિઝન બેન્ચે કહ્યું કે દરેક નાગરિકને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો અધિકાર છે. આવી પરિસ્થિતિઓમાં એર પ્યુરિફાયરને લક્ઝરી આઇટમ માનીને 18% GST લગાવવો યોગ્ય નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 20 વર્ષ પછી ઉદ્ધવ-રાજ ઠાકરેની પાર્ટીમાં ગઠબંધન:કહ્યું- અમારી વિચારધારા એક, વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું; 29 નગર નિગમ ચૂંટણીમાં 15 જાન્યુઆરીએ મતદાન મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ પછી એકસાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. શિવસેના (યુબીટી) અને મનસે મળીને બીએમસી ચૂંટણી લડશે. બુધવારે બંને ભાઈઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી. ગઠબંધન અંગે ઉદ્ધવે કહ્યું કે અમારી વિચારસરણી એક છે, જો વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું. મહારાષ્ટ્ર માટે આપણે બધા એક છીએ. આ પહેલા બંને નેતાઓ શિવાજી પાર્ક સ્થિત બાળાસાહેબ ઠાકરેના સ્મારક પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોના-ચાંદીના ભાવે સતત ત્રીજા દિવસે રેકોર્ડ તોડ્યો:ચાંદીમાં એક જ દિવસમાં રુ. 8 હજારનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 1.37 લાખ થયો, તેજીનાં મુખ્ય કારણો જાણો સોના-ચાંદીના ભાવ આજે 24 ડિસેમ્બરે સતત ત્રીજા દિવસે ઓલટાઇમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર સોનું 352 રૂપિયા વધીને 1,36,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ પહેલાં મંગળવારે એ 1,36,283 રૂપિયા પર હતું. 1 કિલો ચાંદીની કિંમત 7,934 રૂપિયા વધીને 2,18,954 રૂપિયા પ્રતિ કિલોના ઓલટાઇમ હાઈ પર પહોંચી ગઈ છે. ગઈકાલે એની કિંમત ₹2,11,020/કિલો હતી. 10 દિવસમાં ચાંદી 30,673 રૂપિયા મોંઘી થઈ છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,281 રૂપિયા પ્રતિ કિલો હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 16 ચોગ્ગા...15 છગ્ગા... અને 190 રન:14 વર્ષના વૈભવની વધુ એક વિક્રમી ઇનિંગ; વિજય હઝારે ટ્રોફીમાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે 574 રન ફટકાર્યા વિજય હઝારે ટ્રોફીનો પ્રથમ દિવસ યુવા બેટર્સના નામે રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ બુધવારે અરુણાચલ પ્રદેશ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. બીજી તરફ, બિહારના કેપ્ટન સાકિબુલ ગનીએ 32 બોલમાં અને ઝારખંડ તરફથી રમતા ઈશાન કિશને 33 બોલમાં તોફાની સદી ફટકારી હતી. 14 વર્ષનો વૈભવ લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનારા વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. બિહાર તરફથી રમતા વૈભવે પાકિસ્તાનના ઝહૂર ઈલાહીનો 39 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 2026ની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના:ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાનું કારણ લા નીનો અને અલ નીનો, નલિયા-અમરેલીમાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયા અને અમરેલીમાં નોંધાયું હતું. બન્ને શહેરમાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં અગાઉ 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાત્રે 2.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નવરાત્રિમાં અંબાજી મંદિરની પૂજાનો વિશેષ અધિકાર દાંતા રાજવી પાસેથી છીનવાયો:હવેથી ભક્તોએ આઠમની પૂજા સમયે મંદિર બહાર ઉભું રહેવું પડશે નહીં, હાઇકોર્ટનો હુકમ શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજો પાસેથી છીનવાયો છે. આ અંગે હાઇકોર્ટે હુકમ કર્યો છે. જેથી હવે આઠમની પૂજાના દિવસે દર્શનાર્થીઓએ મંદિરની બહાર રહેવું પડશે નહીં અને તેઓ પણ આઠમની પૂજામાં સહભાગી બની શકશે અને દર્શન કરી શકશે. ગુજરાત હાઈકોર્ટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાનને પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાણીનો નિર્ણય યથાવત રાખ્યો છે, અગાઉના દાંતા રાજ્યના વારસદાર મહારાજા મહેન્દ્રસિંહજી પરમાર દ્વારા દાખલ અપીલ રદ્દ કરી દીધી છે. કોર્ટે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટકર્તા દ્વારા એડવોકેટ અર્ચના.આર.આચાર્ય દ્વારા દાખલ ક્રોસ-ઓબ્જેક્શનને પણ મંજૂરી આપી છે, જેનાથી દાંતાના મહારાજાના અગાઉ આપેલા વિશેષાધિકારો રદ્દ થઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લખનઉ કોર્ટે રાહુલ, સોનિયા-પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી:કોંગ્રેસ સાંસદે કહ્યું હતું- ઈન્ડિયન સ્ટેટ સાથે અમારી લડાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચીનની બેવડી ચાલ પર અમેરિકાની ભારતને ચેતવણી:એક તરફ દિલ્હી સાથે સંબંધો સુધારવાના પ્રયાસો, બીજી તરફ પાકિસ્તાનને હથિયારો આપી રહ્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઇસરોએ 6100 કિલોનો અમેરિકી સેટેલાઇટ લોન્ચ કર્યો:ભારતમાંથી મોકલવામાં આવેલો સૌથી ભારે સેટેલાઇટ; પૃથ્વી પર ગમે ત્યાંથી વીડિયો કૉલ કરી શકાશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકી રિપોર્ટ- બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવા માગે છે ચીન:દુનિયાના દરિયાઈ માર્ગો પર નજર, રોકાણના બહાને ગુપ્ત માહિતી એકઠી કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકો બંધ રહેશે:4 રવિવાર, 2 શનિવાર અને ગણતંત્ર દિવસ ઉપરાંત 9 રજા; જુઓ RBIનું હોલિડે લિસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વિજય હઝારે ટ્રોફીમાં RO-KOની સેન્ચુરી:કોહલીએ 131, રોહિતે 155 રન બનાવ્યા; ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો; બંનેની ટીમોએ જીત મેળવી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વર્ષ 2025ની અંતિમ વિનાયક ચતુર્થી:આજે ગણેશ પૂજાનો શુભ સમય માત્ર 1 કલાક 52 મિનિટ, ચોથ તિથિએ ભૂલ્યા વગર દાન કરો આ વસ્તુઓ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પંચાયતે મહિલાઓને સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો રાજસ્થાનના જાલોરમાં, એક પંચાયતે 15 ગામોમાં મહિલાઓ અને છોકરીઓને 26 જાન્યુઆરીથી કેમેરાવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને ફક્ત કીપેડ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. વિરોધનો સામનો કરતા, પંચાયતે દલીલ કરી હતી કે મોબાઇલ ફોનનો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: સુપ્રીમ કોર્ટનો નિર્ણય ને દેશભરમાં #SaveAravalli ટ્રેન્ડ, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલા અરવલ્લીને બચાવવા કેમ લોકો રસ્તા પર ઉતર્યા? 2. સુરતમાં કિડનેપરે યુવકને વૂડકટરથી કાપ્યો, ખરીદીના બિલથી કેસ ઉકેલાયો: બે થેલામાંથી લાશના કટકા મળ્યા, યુવકની બેવાર અંતિમવિધિ થઈ, કોર્ટમાં પિતાની વેદના-દીકરાનું માથું નથી મળ્યું 3. રીલ્સના રાજ્જા-3 : પાઉડર ઉછાળવાનો વીડિયો બનાવ્યો અને જિંદગી બદલાઈ ગઈ: માહી પટેલે કહ્યું, 'શરૂઆતમાં પરિવારને મારું કામ પસંદ નહોતું, એક સમયે કુર્તી પણ વેચતી’ 4. ‘દીકરાને મારીને સળગાવી દીધો, હવે ઘર છોડવાની ધમકી’: બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા, પરિવારે કહ્યું- સરકારે મરવા માટે છોડી દીધા 5. અતુલને સુસાઈડ માટે ઉશ્કેરનારાઓને સજા ક્યારે?: ભાઈએ કહ્યું, એક વર્ષથી અસ્થિઓ ઘરમાં છે; અતુલે કહ્યું હતું કે ન્યાય ન મળે તો ગટરમાં વહાવી દેજો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: ધન જાતકોને સુખદ સમય પસાર થશે, કન્યા જાતકોને વ્યાવસાયિક ફેરફાર માટે અનુકૂળ સમય (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:00 am

યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ:સપનાની સિદ્ધિ ; 43 હજાર વિદ્યાર્થીના જીવનનો આજે ઐતિહાસિક દિવસ, રાજ્યપાલ ડિગ્રી આપશે

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રાંગણ માત્ર પદવીઓ એનાયત કરવાનું સ્થળ નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોના તપ, રાત-દિવસના ઉજાગરા અને મા-બાપની આંખોમાં રહેલા સપનાઓ સાકાર થવાનું સાક્ષી બની રહ્યું છે. યુનિવર્સિટીના 60મા ગરિમાપૂર્ણ પદવીદાન સમારંભમાં આજે 14 વિદ્યાશાખાના 43,792 દીક્ષાર્થી જ્યારે પદવી ધારણ કરશે, ત્યારે તેમના જીવનનો એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આજે ખુશીઓનો અવસર છે. આજના આ ખાસ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીઓ પદવી મેળવશે, ત્યારે તે માત્ર એક શૈક્ષણિક લાયકાત નહીં પરંતુ તેમની મહેનતનું સર્વોચ્ચ સન્માન હશે. ક્લાસરૂમની બેન્ચથી શરૂ થયેલી આ સફર આજે સ્ટેજ સુધી પહોંચી છે. પદવીદાન સમારંભમાં એનાયત થનારા 178 ગોલ્ડ મેડલ એ સાબિતી છે કે જો લક્ષ્ય મક્કમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. આ સમારંભ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. સાથે રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા ઉપસ્થિત રહીને દીક્ષાર્થીઓને આશીર્વચન પાઠવશે. કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ચાલુ વર્ષે પણ મેડલ મેળવવામાં દીકરીઓએ મેદાન માર્યું છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિ લલિતભાઈ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 07 ગોલ્ડ મેડલ અને 08 પ્રાઈઝ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ રહી છે. રાજ્યપાલ ગામવાસીના ઘેર સાદું ભોજન કરશે, લોકો સાથે ખાટલા પરિષદ કરશે, ખેડૂતો સાથે સંવાદ કરશેરાજ્યપાલ તા.25 ડિસેમ્બરનાં રોજ સવારે યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાંજે 5 કલાકે ગોડલનાં લુણીવાવ પ્રાથમિક શાળા ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ સાંજે 5.30 કલાકે લુણીવાવ ગામની મુખ્ય બજારમાં ગામલોકો સાથે સફાઈ અભિયાનમાં સહભાગી બનશે. સાંજે 7 કલાકે સ્થાનિક ગામવાસીનાં ઘરે સાદુ ભોજન લીધા બાદ રાત્રે 8 કલાકે રાજ્યપાલ ગામલોકો સાથે ગરબી ચોક ખાતે વાર્તાલાપ (ખાટલા પરિષદ) કરશે. રાજ્યપાલ પ્રાથમિક શાળા લુણીવાવ ખાતે રાત્રિરોકાણ કરશે. બીજા દિવસે તા.26 ડિસેમ્બરે સવારે સાત કલાકે રાજ્યપાલ લુણીવાવ ખાતે પશુપાલક/ખેડૂત પંકજભાઈ મોહનભાઈ મારકણાના ફાર્મ ખાતે ગીર ગૌ દોહન તથા પ્રાકૃતિક ખેતી અને ખેતી અંગે સંવાદ કરશે. 160 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત થશે કુલ પદવીઓ : 14 વિદ્યાશાખાના કુલ 43,792 વિદ્યાર્થીને પદવીઓ એનાયત કરવામાં આવશે. સુવર્ણ ચંદ્રક : 160 તેજસ્વી વિદ્યાર્થીને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત થશે, જેમાં 49 વિદ્યાર્થી અને 129 વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. પારિતોષિક : વિદ્યાર્થીઓને કુલ 271 પ્રાઈઝ આપી પ્રોત્સાહિત કરાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

PSE-SSEનું પરિણામ જાહેર:પ્રાથમિક-માધ્યમિકના 97,466 વિદ્યાર્થીને 35% માર્ક, માત્ર એક જ વિદ્યાર્થીને 95% માર્ક મળ્યા!

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 29 નવેમ્બરના રોજ પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટેની PSE (પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) અને SSE (સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) લેવામાં આવી હતી જેનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોની સાથે બોર્ડે આંકડાકીય વિશ્લેષણ અને મેરિટ યાદી અંગેના નિયમોની પણ સ્પષ્ટતા કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, બંને પરીક્ષામાં મળીને કુલ 97,466 વિદ્યાર્થીએ લઘુતમ 35% (42 ગુણ)થી વધુ ગુણ મેળવીને ક્વોલિફાઈંગ માર્કસ પ્રાપ્ત કર્યા છે. PSE (પ્રાથમિક)માં 54,607 વિદ્યાર્થીએ 35% થી વધુ ગુણ મેળવ્યા છે. નોંધનીય છે કે, માત્ર 1 વિદ્યાર્થીએ 95% થી વધુ ગુણ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. SSE (માધ્યમિક)માં 42,859 વિદ્યાર્થી સફળ રહ્યા છે. જેમાં 89 વિદ્યાર્થીએ 85% થી વધુ ગુણ મેળવી પોતાની તેજસ્વિતા સાબિત કરી છે. જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-5માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવ્યો હોય તેઓ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. જ્યારે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-8માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવ્યા હોય તેઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. પ્રાથમિકમાં રૂ.750, માધ્યમિકમાં રૂ.1000 શિષ્યવૃત્તિ મળશેપરીક્ષા બોર્ડે અગાઉ જ જાહેરનામાં દ્વારા ઓનલાઈન આવેદન અને ફી ભરવાની પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી. 29 નવેમ્બરે રાજકોટ સહિત રાજ્યભરમાં પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય સરકારની PSE યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ. 750 મળશે જયારે SSE યોજનામાં વર્ષમાં એક વખત રૂ.1000ની સ્કોલરશિપનો લાભ મળવાનો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિકના 54,607, માધ્યમિકના 42,859 વિદ્યાર્થીને 120માંથી 42 જ માર્ક મળ્યા! ગુણ પ્રાથમિકના વિદ્યાર્થી માધ્યમિકના વિદ્યાર્થી 35% (42 માર્ક)થી વધુ 54,607 42,859 40% (48 માર્ક)થી વધુ 34,286 30,671 45% (54 માર્ક)થી વધુ 21,095 21,072 50% (60 માર્ક)થી વધુ 12,708 14,133 55% (66 માર્ક)થી વધુ 7,571 9,196 65%(78 માર્ક)થી વધુ 2,316 3,499 75% (90 માર્ક)થી વધુ 520 875 85% (102 માર્ક)થી વધુ 52 89 95% (114 માર્ક)થી વધુ 01 00 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ-પ્રમાણપત્રો અપાશે પ્રાથમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર પ્રથમ 1000 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત થશે. માધ્યમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર ક્વોટા પ્રમાણે કુલ 2900 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે. ઉત્તીર્ણ થનારા તમામને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આત્મહત્યા:પત્નીએ દારૂ છોડવા કહ્યું, યુવકે ફાંસો ખાઇ દુનિયા છોડી દીધી

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, યુવકને દારૂનો નશો કરવાની કુટેવ હતી અને પત્નીએ નશો છોડવાનું કહેતા યુવકે પગલું ભરી લીધું હતું. રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા જીતેશ મનુભાઇ જખાણિયા (ઉ.વ.35)એ બુધવારે સવારે પોતાના ઘરે લાકડાંની આડી સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીતેશ જખાણિયા કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને દારૂનો નશો કરવાની કુટેવ હતી, જીતેશના નશા મુદ્દે અવારનવાર તેની પત્ની સાથે માથાકૂટ થતી હતી. પત્ની દારૂનો નશો છોડવાનું કહેતી હોવાથી જીતેશ તે મુદ્દે માથાકૂટ કરતો હતો. મંગળવારે રાત્રે પણ પત્નીએ જીતેશને દારૂ છોડી દેવાનું કહ્યું હતું. આ બાબતનું માઠું લાગી આવતાં જીતેશે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. જીતેશ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જીતેશના આપઘાતથી તેના ત્રણ સંતાને પતાની છત્રછાયા ગુમાવતાં જખાણિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

માંગ:રાજકોટની 200 સોસાયટીમાં અશાંતધારો અમલી બનાવવા કલેક્ટર સમક્ષ માગણી

રાજકોટ શહેરમાં હાલમાં જુદી-જુદી 42 જેટલી સોસાયટીમાં અશાંતધારો અમલી છે ત્યારે આગામી સમયમાં અશાંતધારો ઉઠાવી લેવામાં આવશે તેવી દહેશતને લઈ રાજકોટ શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખો અને સભ્યો દ્વારા આંતરિક બેઠકો બાદ બુધવારે સાંજે 150થી 200 જેટલા આગેવાનો શહેરની 200 જેટલી સોસાયટીમાં આગામી 10 વર્ષ સુધી અશાંતધારો અમલી બનાવવાની માંગ સાથે રજૂઆત માટે દોડી આવ્યા હતા. સોસાયટીના મકાન ધારકોએ સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી બહુમત સમાજની માગણી ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ જો અશાંતધારાની મુદત નહીં વધારવામાં આવે તો કાનૂની લડત તેમજ આંદોલન શરૂ કરવા પણ ચીમકી આપી હતી. રાજકોટ શહેરમાં હાલમાં કોઠારિયા રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓ તેમજ રૈયા રોડ વિસ્તાર, એરપોર્ટ રોડ સહિતની અંદાજે 42 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો અમલી છે જેની 12 જાન્યુઆરી 2026ના મુદત પૂર્ણ થઇ રહી હોય સરકાર દ્વારા હજુ સુધી મુદત વધારવા નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી શહેરની 200 જેટલી સોસાયટીના પ્રમુખ અને સભ્યો દ્વારા લાંબા સમયથી બેઠકોના દોર બાદ બુધવારે 150થી 200 જેટલા આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારાની મુદત વધારી 10 વર્ષ કરવા તેમજ સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અન્ય પોશ વિસ્તારમાં પણ હિન્દુ બહુમતી હોવા છતાં મુસ્લિમ સમાજને પ્રોપર્ટી વેચાણ થઇ રહી હોય તેમની સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી. 12 જાન્યુઆરી-2026ના અશાંતધારાની મુદત પૂર્ણ થાય છે રાજકોટમાં 13 જાન્યુઆરી 2021ના રોજ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પાંચ વર્ષની મુદત માટે શહેરમાં બજરંગવાડી, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, સહિતની જુદી-જુદી 28 સોસાયટીઓ તેમજ આજી ડેમ પોલીસ મથક હેઠળ આવતા કોઠારિયા રોડ, હુડકો વિસ્તારની 14 જેટલી સોસાયટી મળી કુલ 42 સોસાયટીમાં અશાંતધારો પાંચ વર્ષ માટે અમલી બનાવ્યો હતો.જેની મુદત આગામી તા.12 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઇ રહી હોય વિવિધ સોસાયટીઓ દ્વારા વધુ 10 વર્ષ માટે અશાંતધારો અમલી રાખવા માગણી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

હુકમ:જિલ્લાની 592 ગ્રામપંચાયતને બે દિવસમાં ગ્રામસભા યોજવા આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને બદલે નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અમલી બનાવવામાં આવનાર છે ત્યારે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામપંચાયતોને તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજી ફોટો-વીડિયો સાથેની ગ્રામસભાની કાર્યવાહી મોકલી આપવા આદેશ જારી કરાયો છે જે અન્વયે રાજકોટ જિલ્લાની 592 ગ્રામપંચાયતને જી રામ જી યોજના અંગે બે દિવસમાં તાકીદે ગ્રામસભા યોજવા સૂચના જારી કરવામાં આવી છે. રાજ્યના વિકાસ કમિશનરના આદેશ અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાની તમામ 592 ગ્રામપંચાયતને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના અમલને લઈ તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, નવી જી રામ જી યોજના અન્વયે પંચાયત એપ મારફતે ગ્રામપંચાયતોને ગ્રામસભાની કાર્યવાહીના ફોટો, વીડિયો જીઓ ટેગિંગ સાથે ફરજિયાત અપલોડિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જી રામ જી અન્વયે મુખ્ય ચાર શ્રેણીમાં કામ મળશેજી રામ જી યોજના અન્વયે સંશોધિત બિલમાં ગ્રામીણ શ્રમિકોને મુખ્યત્વે ચાર શ્રેણીમાં રોજગાર આપવામાં આવશે. જેમાં અગાઉની જેમ જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામગીરી, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા વૃદ્ધિના કામ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ સંબંધિત પર્યાવરણીય કામોમાં રોજગારી આપવામાં આવશે. રૂ. 288 લેખે 125 દિવસની રોજગારી મળશેઅગાઉ મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે અમલી બનાવેલ જી રામ જી યોજના સંપૂર્ણ લાગુ થવાથી 125 દિવસની રોજગારી આપવામાં આવશે. હાલમાં રાજકોટ જિલ્લામાં પ્રતિદિન રૂ.288ના દરથી રોજગારી આપવામાં આવતી હતી. જેમાં એક્ટની જોગવાઈ મુજબ વધેલા વેતનદર વધારાનો પણ લાભ મળી શકશે. બેરોજગારી ભથ્થા સાથે વિલંબિત ભથ્થું પણ મળશેઅત્યાર સુધી મનરેગા યોજનામાં રોજગારી માટે નોંધણી કરાવનાર શ્રમિકોને કામ માગ્યા બાદ રોજગારી જ મળવાના કિસ્સામાં બેરોજગારી ભથ્થું મળી શકતું ન હતું, પરંતુ જી રામ જી યોજનામાં રોજગારી નહીં મળવાના કિસ્સામાં આપો આપ રોજગારી ચૂકવાશે. સાથે જ અગાઉ શ્રમિકોને ચૂકવણા મોડા થતા હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય નવી યોજના અન્વયે શ્રમિકોને ચૂકવણામાં વિલંબ થયે વિલંબિત ભથ્થું પણ ચૂકવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આયોજન:નાતાલની ઉજવણી નિમિત્તે 2 કલાક સામૂહિક ધ્યાન, સાધના, જીસસના ઉલ્લેખનું વાંચન કરાશે

શહેરમાં નાતાલના ઉજવણી કાર્યક્રમ નિમિત્તે યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્રના ઉપક્રમે આજે તા.25 ડિસેમ્બરના રોજ ગુરુવારે, સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન વિશેષ સત્સંગ, સમૂહ ધ્યાન કરાશે. આ તકે શહેરના પરમહંસ યોગાનંદ માર્ગ, M-4 ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નં.-1, સ્વામિનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ ખાતે 150થી વધુ લોકો સામૂહિક ધ્યાન કરશે. આ તકે 2 કલાક દરમિયાન ધ્યાન, સાધના, ગુરુજીના પુસ્તકમાં લખાયેલા જીસસના ઉલ્લેખનું વાંચન કરાશે. આ દરમિયાન ભજન, કીર્તન, ધ્યાન તથા વાંચન કરાશે. અત્યારની તણાવભરી જિંદગીમાં યુવાન-યુવતીઓ માટે મેડિટેશન ખૂબ જરૂરી છે તેથી આ તકે વધુમાં વધુ લોકો ધ્યાનનો સહારો લે છે. વિશ્વભરમાં આધ્યાત્મિક વારસાનો પ્રચાર-પ્રસાર કર્યોસંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય જગદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, પરમહંસ યોગાનંદજી દ્વારા આ સંસ્થાની 1917માં સ્થાપના કરાઇ. સ્વામી વિવેકાનંદ પછીના બીજા સંત કે જેમને આધ્યાત્મિક પરિષદ ભરાતી ત્યારે 1920માં વિશ્વ ધાર્મિક પરિષદમાં ભારતના બીજા પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. પતંજલિ ઋષિની અષ્ટાંગ યોગ સાધનાની પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કર્યો. અમેરિકામાં લોકોને બાઇબલ અને ભગવદ્ ગીતાની સામ્યતા વિશે સમજાવ્યું. બાઇબલના ક્વોટ્સ આપીને જીસસના બતાવેલા યોગ અને ભગવદ્ ગીતાની સામ્યતા બતાવી સમજાવયું હતું. વિશ્વભરના દેશોમાં ગુરુજી ફર્યા અને આધ્યાત્મિક વારસાનો પ્રચાર-પ્રસાર કર્યો. યોગાનંદજીની આત્મકથા 55 ભાષામાં ભાષાંતર તરીકે છે કે જેને દરેક લોકો તેની માતૃભાષામાં વાંચન કરી શકે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

વિદ્યાર્થીઓનો હોબાળો ખોટો:સમરસ હોસ્ટેલમાં અપાતું ભોજનગુણવત્તાયુક્ત જ હોવાનું ખુલ્યું

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવાતવાળુ ભોજન અપાતું હોવાના મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને મંગળવારે હોબાળો મચાવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ ભોજન મુદ્દે મચાવેલો હોબાળો ખોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફૂડ વિભાગના અધિકારી ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, ટીમે હોસ્ટેલમાં જઇ ચેકિંગ કરતા પાણી આરોયુક્ત અને શુદ્ધ હતું. તેમજ ફૂડની ચકાસણી કરતા કાચો માલ ગુણવત્તાવાળો અને સ્ટાન્ડર્ડ હતો. જોકે રસોડામાં ગંદકી જોવા મળતા કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હતી. ફૂડના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. ફૂડ લાઇસન્સ ઇસ્યૂ બાકીસમરસ હોસ્ટેલમાં ફૂડ બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી વાપીની યુવરાજ કેટરિંગ પાસે ફૂડ લાઇસન્સ ન હોવાની વિગતો ખુલ્લી હતી. જો કે, આ અંગે તપાસ કરતા અરજી કરી દીધાનું અને ડોક્યુમેન્ટ સ્ક્રૂટિનીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આયોજન:10મીએ રેસકોર્સમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

રાજકોટમાં તા.10 જાન્યુઆરીએ યોજાનાર વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સના મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે રાખીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજતું હોય છે પણ આ વખતે વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ એકલુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજશે. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં પ્રવાસન વિભાગ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં મહાનગરપાલિકાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માટે પત્ર લખતું હોય છે, પરંતુ આ વખતે અગાઉથી જ પત્ર લખીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને અનુલક્ષીને તા.10મી જાન્યુઆરીએ રેસકોર્સ મેદાન ખાલી રાકવા જણાવી દીધુ છે. આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મહાનગરપાલિકાને સદભાગી બનાવવામાં આવ્યું નથી. પ્રવાસન વિભાગ દ્વારા કાંકરિયા ખાતે યોજાઇ છે તે કક્ષાનો જ જાજરમાન અને ભવ્ય પતંગ મહોત્સવ યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટમાં યોજાનાર પતંગ મહોત્સવમાં અત્યાર સુધીમાં 52 દેશના અને ગુજરાત તથા અન્ય રાજ્યોના 150થી વધુ પતંગબાજોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. જોકે ક્યાં દેશના કેટલા પતંગબાજોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેના આંકડા મોડેથી જાહેર કરાશે. રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, વડનગર અને કેવડિયામાં પણ આ જ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે. સંભવત: PM પતંગોત્સવ ખુલ્લો મૂકશેજાન્યુઆરીમાં રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સંભવત: આ પતંગ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. જોકે સત્તાવાર રીતે આ બાબતે હજુસુધી કોઇ જાહેરાત થઇ નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:વેરો નહીં ભરતા 267 બાકીદારની મિલકત સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે મિલકતવેરા તથા પાણીવેરાની વસૂલાત માટે 1 એપ્રિલથી સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. તા.24 ડિસેમ્બર સુધીમાં કુલ 3,93,005 કરદાતા દ્વારા રૂ.315.05 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, જે શહેરની નાગરિક જવાબદારી અને વેરા જાગૃતિ દર્શાવે છે. જોકે, વેરા ન ભરનાર બાકીદારો સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે અને સાડા નવ માસમાં 267 બાકીદારની મિલકત સીલ કરી દીધી છે. મહાપાલિકાના વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર તા.9 એપ્રિલથી તા.24 ડિસેમ્બર દરમિયાન કુલ 267 મિલકતને સીલ કરવામાં આવી છે. બાકી મિલકતવેરા વસૂલાત અંતર્ગત વોર્ડવાર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.1માં 9, વોર્ડ નં.2માં 11, વોર્ડ નં.3માં 38, વોર્ડ નં.5માં 2, વોર્ડ નં.6માં 5, વોર્ડ નં.7માં સૌથી વધુ 134, વોર્ડ નં.8માં 4, વોર્ડ નં.9માં 7, વોર્ડ નં.10માં 18, વોર્ડ નં.11માં 8, વોર્ડ નં.12માં 8, વોર્ડ નં.13માં 9, વોર્ડ નં.14માં 6, વોર્ડ નં.17માં 6 તથા વોર્ડ નં.18માં 2 મિલકતને સીલ કરવામાં આવી છે. સૌથી વધુ વોર્ડ નં.7માં મિલકત સીલ, મેયરના વોર્ડ સહિત 3 વોર્ડમાં એકપણ સીલ ન કરાઈસૌથી વધુ વોર્ડ નં.7માં 134 મિલકત સીલ કરવામાં આવી છે. જ્યારે મેયર નયનાબેન પેઢડિયાના વોર્ડ નં.4,15 અને 16માં એકપણ મિલકત સીલ ન કરાયાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ફરિયાદ:ટ્રેનમાં નિવૃત્ત PI પર ખૂની હુમલો કરી બે મોબાઇલ ફોન લૂંટી લીધા

જામનગર રહેતા નિવૃત્ત પીઆઇ જાડેજા અમદાવાદ કોર્ટની મુદતે જવા ટ્રેનમાં નીકળ્યા હતા અને ટ્રેન પડધરી નજીક પહોંચી હતી ત્યારે એક મુસાફરે વાત કરવા માટે નિવૃત્ત પીઆઇ પાસે ફોન માગ્યો હતો, જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં મુસાફરે નિવૃત્ત અધિકારીને માર મારી પછાડી દઇ ફાયર એક્સટિંગ્વિશરનો બાટલો માથામાં ફટકારી દઇ બે મોબાઇલ લૂંટી લીધા હતા, ગંભીર રીતે ઘવાયેલા અધિકારીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પોલીસે આરોપી પંજાબી શખ્સને ઝડપી લીધો હતો. જામનગરની જયપ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પીઆઇ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. ધર્મેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે. અમદાવાદ કોર્ટની મુદત હોવાથી તા.24ની વહેલી સવારે 4 વાગ્યે જામનગર રેલવે સ્ટેશનથી જાનગર વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં પાછળ જનરલ ડબ્બામાં બેઠા હતા. સવારે 5 વાગ્યાના આસપાસ ધર્મેન્દ્રસિંહ જ્યાં બેઠા હતા ત્યાં એક 28 વર્ષની વયનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને વાત કરવા માટે મોબાઇલ માગ્યો હતો. ધર્મેન્દ્રસિંહે અન્ય પાસેથી લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ગાળાગાળી થઇ હતી, અજાણ્યા શખ્સે ધર્મેન્દ્રસિંહને લાત મારતા તે નીચે પટકાયા હતા, ત્યારબાદ તે શખ્સે ડબ્બામાં રહેલો ફાયરનો નાનો બાટલો ઉપાડી તે બાટલો ધર્મેન્દ્રસિંહના માથામાં ઝીંકી દીધો હતો. હિચકારો હુમલો થતાં ધર્મેન્દ્રસિંહ લોહિયાળ હાલતમાં ઢળ‌ી પડ્યા હતા અને તેમની પાસે રહેલા બે મોબાઇલ લૂંટી આરોપી નાસી ગયો હતો. રાજકોટ જંક્શન રેલવે સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે ધર્મેન્દ્રસિંહ લોહિયાળ હાલતમાં મળી આવતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નિવૃત્ત પીઆઇ પર ખૂની હુમલો અને લૂંટની ઘટના બનતા રેલવે પોલીસ સ્ટેશનના એચ.એમ.રાણા અને પીએસઆઇ બલભદ્રસિંહ જાડેજા સહિતની ટીમ હરકતમાં આવી ગઇ હતી અને લૂંટ ચલાવનાર પંજાબના નિશાદસિંઘ ગુલજારસિંઘને ઝડપી લીધો હતો, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિશાદસિંઘે કેફિયત આપી હતી કે, પોતે ટ્રેનમાં બીડી પીતો હતો અને ધર્મેન્દ્રસિંહે ટપારતાં મામલો બિચક્યો હતો. પોલીસે લૂંટાયેલા બંને મોબાઇલ કબજે કરવાની કવાયત શરૂ કરી હતી. નિવૃત્ત PIની સારવારમાં લાપરવાહી બહાર આવીટ્રેનમાં મુસાફરે કરેલા હુમલામાં ઘવાયેલા નિવૃત્ત પીઆઇ ધર્મેન્દ્રસિંહને સાતેક વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે રેલવે પોલીસના અધિકારીઓ અને ડીડી લેવા માટે મામલતદાર હોસ્પિટલે પહોંચ્યા હતા, દોઢ બે કલાક વીતી ગઇ હતી છતાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેન્દ્રસિંહની યોગ્ય સારવાર થઇ ન હોવાથી અધિકારીઓ રોષે ભરાયા હતા અને હાજર તબીબોનો ઊધડો લીધો હતો. રોજગારી ન મળતાં આરોપી પંજાબ પરત જતો હતોટ્રેનમાં નિવૃત્ત પીઆઇ પર હુમલો કરી બે મોબાઇલ લૂંટી નાસી છૂટેલા પંજાબના નિશાદસિંઘને પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, પોતે રોજગારી મેળવવા માટે કાનાલુસ આવ્યો હતો, કોઇ સ્થળે કામ નહી મળતાં પરત વતન જવા નીકળ્યો હતો, હુમલો કર્યા બાદ તે રોડ મારફતે ભાગ્યો હતો, પરંતુ લીંબડી નજીકથી તે ઝડપાઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સપોઝ:જેટકોમાં 35 એપ્રેન્ટિસની ભરતીનું કૌભાંડ: સિનિયર આસિસ્ટન્ટે 2-2 લાખ લઇને ઓળખીતાને ગોઠવી દીધા

સરકારી વીજકંપનીઓમાં ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનો જીવતો જાગતો પુરાવો જામનગર જેટકોમાં જોવા મળ્યો છે. જામનગર જેટકોના HR વિભાગ દ્વારા આચરવામાં આવેલા એક કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પર્દાફાશ થયો છે. 35 એપ્રેન્ટિસની ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને સાઈડમાં ધકેલી, સિનિયર આસિસ્ટન્ટે પોતાના ખિસ્સાં ભરવા માટે ઓળખીતાઓને ગોઠવી દેવાનું મસમોટું કૌભાંડ આચર્યું છે. ઉમેદવારો પાસેથી રૂપિયા 2-2 લાખ જેવી મસમોટી રકમ વસૂલીને 35 જેટલા ઓળખીતા અને માનીતાઓને એપ્રેન્ટિસ તરીકે પસંદ કરી લીધા હતા. જેટકોના HR વિભાગના સિનિયર આસિસ્ટન્ટે સત્તાનો દુરુપયોગ કરીને આખી ભરતી પ્રક્રિયાને ખાનગી લિમિટેડ કંપનીની જેમ ચલાવી હતી. મહેનત કરતા અને લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોને બદલે મળતિયાને મેરિટમાં ગોઠવી દીધા હતા. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, આટલું મોટું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવા અને સત્ય બહાર આવ્યા છતાં ઉચ્ચ અધિકારીઓએ કાયદાકીય કાર્યવાહી ન કરી. ખરેખર આ કૌભાંડમાં સામેલ વ્યક્તિઓ સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ અને લાંચ રુશવત વિરોધી બ્યૂરો (ACB) દ્વારા તપાસ થવી જોઈએ, પરંતુ સત્તાધીશોએ કૌભાંડીઓને બચાવવા આખું કૌભાંડ દબાવી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ કૌભાંડમાં માત્ર એક સિનિયર આસિસ્ટન્ટ જ સામેલ છે કે પછી ઉપર સુધી હપ્તાઓ પહોંચ્યા છે? તે એક મોટો પ્રશ્ન છે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો જેટકોના ભ્રષ્ટ માળખાના અનેક વરવા ચહેરાઓ સામે આવી શકે તેમ છે. જેટકોમાં કુલ 120 જેટલા એપ્રેન્ટિસની ભરતી કરવાની હતી જેમાંથી 35 ઉમેદવારને ખોટી રીતે ગોઠવી દીધા. કૌભાંડની પ્રથમ કડી મળી: ધો.10માં 50% વાળો પાસ થઇ ગયો અને 60% વાળો નોકરીથી વંચિત રહ્યોજેટકોના આ ભરતી કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મેરિટ લિસ્ટના ધજાગરા ઉડાવતી વિગતો સામે આવી. આ એ જ કડી હતી જેણે આખા કૌભાંડનો ભાંડાફોડ કર્યો. એપ્રેન્ટિસની ભરતી સામાન્ય રીતે મેરિટના આધારે થતી હોય છે, પરંતુ અહીં તો ઊલટી ગંગા વહી હતી. તપાસમાં સામે આવ્યું કે, જે વિદ્યાર્થીને ધોરણ 10માં માત્ર 50% ગુણ હતા, તેનું સિલેક્શન થઈ ગયું હતું! બીજી તરફ, જે મહેનતું ઉમેદવારોને 60% કે તેથી વધુ ગુણ હતા, તેમને સ્થાન મળ્યું નહોતું. લાયક ઉમેદવારો જ્યારે પોતાની બાદબાકી જોઈને આશ્ચર્યમાં પડ્યા, ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવવાની શરૂ થઈ હતી. અને તપાસ દરમિયાન આખું કૌભાંડ છતું થયું. આ ઘટના સ્પષ્ટ કરે છે કે HR વિભાગના સિનિયર આસિસ્ટન્ટ માટે વિદ્યાર્થીની મહેનત કે ટકાવારીનું કોઈ મૂલ્ય નહોતું. જેણે ‘2 લાખ’ આપ્યા તેની ટકાવારી ઓછી હોવા છતાં તેને ઓર્ડર આપી દેવાયો, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ જોતા રહી ગયા. અધિક્ષક ઈજનેરનો સ્વીકાર: ‘પૈસા લઈને ભરતી પ્રક્રિયા કરાઈ હતી,’ કૌભાંડ ખુલ્યા બાદ લાયકને નોકરીના ઓર્ડર આપ્યાજામનગર જેટકોના અધિક્ષક ઈજનેર પણ ખુદ છાતી ઠોકીને કહે છે કે હા, ખોટું થયું છે અને પૈસા લઈને ભરતી કરવામાં આવી છે. ‘દિવ્ય ભાસ્કરે’ જ્યારે જામનગર જેટકોના અધિક્ષક ઈજનેર ડી.એમ. પટેલને આ સમગ્ર કૌભાંડ બાબતે પૂછ્યું ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે, હા ખોટું થયું છે. તેમણે કહ્યું કે, જેટકોમાં એપ્રેન્ટિસની ભરતી દરમિયાન સિનિયર આસિસ્ટન્ટ દ્વારા જે ઉમેદવારો મેરિટમાં આવતા ન હતા તેમને ગેરકાયદે ઘુસાડી દીધા હતા. આ સમગ્ર બાબત અંગે જ્યારે અન્ય ઉમેદવારોએ રજૂઆતો કરી ત્યારબાદ તપાસ કરવામાં આવી અને આવા 35 જેટલા ઉમેદવાર એવા નીકળ્યા જેમને ખોટી રીતે ભરતી કર્યા હતા. બાદમાં તમામ 35 એપ્રેન્ટિસને ટર્મિનેટ કરીને તેની જગ્યાએ લાયકાત ધરાવતાને ઓર્ડર આપ્યા છે. જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી બદલી કરી છે અને તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ છે. ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેટકોના અધિકારીએ કૌભાંડ કરનારની બદલી કરી સસ્પેન્ડ કર્યો, મોટાં માથાંઓને બચાવી લેવાયાઉમેદવારો પાસેથી બે-બે લાખ રૂપિયા જેટલી રકમ લઈને ભરતી કરવામાં આવી હોવાની ગંભીર બાબતની કોઈને કાનોકાન જાણ ન થાય તે માટે જેટકોના અધિકારીએ આ કૌભાંડ આચરનાર સિનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરીને તેની બદલી કરી નાખી. જેટકોમાં આચરેલા આ મસમોટા ભરતી કૌભાંડમાં તંત્રની નબળી અને શંકાસ્પદ કામગીરીનો વધુ એક ભાંડાફોડ થયો છે. સામાન્ય રીતે આવા ગંભીર ગુનામાં તાત્કાલિક પોલીસ ફરિયાદ અને કડક તપાસની જરૂર હોય છે, પરંતુ અહીં કંઈક અલગ જ રંધાઈ રહ્યું છે. આ 35 એપ્રેન્ટિસની ભરતી માત્ર એક આસિસ્ટન્ટના સ્તરે શક્ય જ નથી. છતાં, સિનિયર અધિકારીઓ કે જેમના આશીર્વાદ વગર આ કૌભાંડ ન થઈ શકે, તેમને બચાવવા માટે આખી પ્રક્રિયાને શાંત પાડી દેવાઈ હોવાની પણ ચર્ચા જાગી છે. લાખો રૂપિયાનો વહીવટ થયો હોવા છતાં, હજુ સુધી આ મામલે કોઈ ફોજદારી ફરિયાદ (FIR) કે એસીબીની તપાસ કેમ નથી સોંપાઈ ? તે સૌથી મોટો સવાલ છે. ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવાને બદલે માત્ર વહીવટી પ્રક્રિયાના નામે જેટકોની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:આખરે ભાટપુર પ્રાથમિક શાળાનું‎નબળું ચણતર તોડી પાડવા આદેશ‎

વ્યારા તાલુકાના ભાટપુર ગામે ધોરણ 1 થી 5 માટેની નવી બની રહેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો અને દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવારે શિક્ષણ વિભાગના ઇજનેર અધિકારીએ સ્થળ તપાસ કરી નબળી ગુણવત્તાનું બાંધકામ પકડી પાડ્યું હતું. અધિકારીએ સ્થળ પર જ પ્રથમ લેયરનું ચણતર તોડી પાડવાનો આદેશ આપી કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. કોન્ટ્રાક્ટરને ફટકારાયેલી કારણ દર્શક નોટિસમાં ઇજનેર અધિકારીએ કડક ચેતવણી આપી છે કે જો હવે પછી બાંધકામની ગુણવત્તામાં સહેજ પણ ખામી જણાશે તો દંડાત્મક કાર્યવાહીની સાથે બ્લેકલિસ્ટ કરવા જેવી પ્રક્રિયા હાથ ધરાશે. નિયમો નેવે મુકી કરાતુ હતું ચણતર ભાટપુર ગામે સ્થળ તપાસ દરમિયાન પ્રથમ લેયરનું કામ ગુણવત્તાવિહીન જણાયું છે. અમે તેને તાત્કાલિક બદલવા અને ધોરણસર કામ કરવા સૂચના આપી છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવવામાં આવી છે. > નીતેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રથમ લેયરનું કામ ગુણવત્તાવિહીન ભાટપુર ખાતે નવી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો દ્વારા બાંધકામમાં હલકી કક્ષાની સામગ્રી અને નબળા ચણતર અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇજનેર નિતેશભાઈ ચૌધરીએ નોંધ્યું હતું કે, પ્રથમ લેયરનું કામ ટેકનિકલ ધોરણો મુજબ કરવામાં આવ્યું નથી. દીવાલની મજબૂતીમાં ગંભીર ખામીઓ જણાતા તેમણે તાત્કાલિક સમગ્ર બાંધકામ દૂર કરવા સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કલેક્ટર, ડીડીઓની અધ્યક્ષતામાં તાપીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ‎:8 અરજદારોના પ્રશ્નો રજૂ, નિરાકરણ માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના

પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી તથા અસરકારક નિરાકરણના હેતુથી તાપી જિલ્લામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો સંબંધિત અરજીઓ રજૂ થઈ હતી. જિલ્લા સ્વાગત દરમિયાન કુલ 8 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ મૂકી હતી. ઇન્ચાર્જ કલેક્ટર બુગાલિયાએ તમામ અરજદારોની વાત ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને અરજીઓની પ્રાથમિકતા નક્કી કરી ત્વરિત ધોરણે કાર્યવાહી કરવા તાકિદ કરી હતી. સાથે જ અરજદારોને સંપૂર્ણ સહયોગ આપવા તથા પ્રશ્નોના સ્થાયી ઉકેલ માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમ મારફતે જનસંપર્ક મજબૂત બનાવી નાગરિકોની સમસ્યાઓને ઝડપી ઉકેલ આપવાનો પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:દેવળીયા નાગનેશ ગામ વચ્ચેથી સરકારી અનાજ ભરેલી રીક્ષા ઝડપાઈ

બોટાદ જિલ્લાના ના રાણપુર શહેરના નાયબ મામલતદાર પુરવઠા અધિકારી જયપાલસિંહ એમ બારડ દ્વારા દેવળીયા અને નાગનેશ ગામ વચ્ચેના રોડ પરથી સરકારી અનાજ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ સરકારી રેશન સામગ્રી જરૂરી પરવાનગી વિના રાખવામાં આવી હતી. આથી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને સંબંધિત નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 22 કિલોગ્રામ ઘઉં, 39.500 કિલોગ્રામ ચોખા અને એક વજન કાંટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રિક્ષા સાથે કુલ સામગ્રી અને વાહનની અંદાજિત કિંમત આશરે 11.982 રૂપિયા થાય છે. પુરવઠા વિભાગે જપ્ત કરાયેલી તમામ સામગ્રી અને વાહનને સરકાર હસ્તક કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર વિતરણ પ્રણાલીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે કાયદા ભંગ સહન કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે અને રેશન કાર્ડધારકોના હિતોનું રક્ષણ કરવા માટે તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

બનાસકાંઠાના 6 તાલુકામાં નવું સામાજિક બંધારણ ઘડવા માટે બેઠક યોજાઇ‎:ઠાકોર સમાજમાં ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજિયાત

બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકામાં વસવાટ કરતાં ઠાકોર સમાજમાં નવું સામાજિક બંધારણ ઘડવા માટે પાલનપુર અને ધાનેરામાં બેઠકો યોજાઇ હતી. જેમાં અગ્રણીઓએ સમાજમાંથી નાસીને લગ્ન કરવાના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજીયાત લેવા સહિતના નિર્ણયો કરવા માટે ચર્ચા- વિચારણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, અમીરગઢ અને ધાનેરા તાલુકામાં વસવાટ કરતાં ઠાકોર સમાજમાં સામાજિક રિત રિવાજોમાં સુધારો આવે તે માટે નવું બંધારણ ઘડવામાં આવનાર છે. જેના માટે પાલનપુર ખાતે છાત્રાલયમાં બેઠક યોજાઇ હતી. જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર, કેશાજી ઠાકોર, મેરૂજી ઘુંખ, અમૃતજી ઠાકોર, ડો. જગદીશ ઠાકોર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવા બંધારણ માટે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. જેમાં અંધશ્રધ્ધા દૂર કરવી, ભાગીને લગ્ન કરનારા દિકરા- દીકરીઓના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજીયાત બનાવવી, લગ્નમાં વાસણ પ્રથા, ઓઢમણા પ્રથા બંધ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. મરણ પ્રસંગે જલો, જમણની પ્રથા બંધ કરવા ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. જ્યારે ધાનેરા ખાતે ઠાકોર સમાજ દ્વારા એક સમાજ એક બંધારણના ઉદ્દેશ્ય સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવું બંધારણ ઘડવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 6 તાલુકામાં નવું સામાજીક બંધારણ ઘડવા માટે બેઠક યોજાઇ હતી

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:કિસાન સૂર્યોદય યોજના 818 ગામોના ખેડૂતોને દિવસે વીજળીની જાહેરાત,વાધણા-મડાણામાં મધરાતે વીજળી

કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે ખેતી માટે નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરવા અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ ખેડૂતોને સવારના સમયથી સાંજ સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો હવે દિવસે સિંચાઈ કરી શકે છે દિવસે વીજળી મળવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પાક ઉત્પાદનની ગુણવત્તા તથા માત્રામાં વધારો થયો છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોના જીવનમાં સામાજિક અને આરોગ્યલક્ષી પરિવર્તન પણ આવ્યું છે. બનાસકાંઠામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બનાસકાંઠા જિલ્લામાં જેટકોના કુલ 112 સબ સ્ટેશન હેઠળ 818 ગામડા અને 117,845 ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જેમાંથી 27 સબ સ્ટેશન સાથે જોડાયેલા 92 ગામડામાં 13,528 ખેડૂતોને બે શિફ્ટમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે છે.તો બીજી બાજુ કેટલાક ગામમાં રાત્રે આવે છે. રાત્રે બાર વાગ્યાથી લાઈટ આવે છે: ખેડૂતોપાલનપુર તાલુકાના વાધણા ડાંગીયા મડાણા ગામના ખેડૂતોએ જણાવ્યું કે પહેલા રાત્રે 8:00 વાગ્યાથી આઠ કલાક માટે થ્રી ફેઝ લાઈન આપી, જે સમય રાત્રે 10:00 વાગ્યાનો કર્યો અને હવે રાત્રે બાર વાગ્યાથી લાઈટ ચાલુ કરે છે. એટલે અમારે શિયાળામાં મોડી રાત સુધી જાગવું પડે. જો આંખ લાગી જાય તો મોટર ચાલુ ન કરી શકીએ અને પાકને પાણી ન મળે. આ બાબતે ચંડીસર વીજ કંપનીને રજૂઆત કરી પરંતુ વાધણા કે મડાણા ફીડરમાં કોઈ સુધાર થયો નથી. ખેડૂતોને રાત્રિના મોડા વીજળી મળે. જેના કારણે ઉજાગરા, આરોગ્ય સમસ્યાઓ, જંગલી પ્રાણીઓનો ભય અને ખેતી ખર્ચમાં વધારો જેવી મુશ્કેલીઓ ઉભી થાય. ખેડૂતોને પૂરતી ઊંઘ ન મળે તો કાર્યક્ષમતા ઘટી જાય અને આરોગ્યમાં જોખમ જોવા મળે છે. સાથે જ, રાત્રિના સમયે ખેતરમાં જંગલી પ્રાણીઓ અથવા અકસ્માતનો ભય પણ વધી જાય ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવો.. માલણ ફીડરમાં બે રાઉન્ડમાં વીજળી પાલનપુર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં જુદા જુદા ફીડરમાં જુદા જુદા સમયે વીજળી આપવામાં આવી રહી છે જેમાં સપ્તાહમાં બે રાઉન્ડમાં વીજળી આપવામાં આવી રહી છે. ખેડૂતોએ કહ્યુ કે, એક સપ્તાહ દરમિયાન વહેલી સવારે 4 કલાક થી બપોરના 1 વાગ્યા સુધી જ્યારે બીજા સપ્તાહમાં બપોરે 1 થી 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ઈન્સાઈડ:કમોસમી વરસાદમાં સહાયમાં લોલમલોલ, ખેડૂતોને રૂ.35000 ના બદલે માત્ર 6000

ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના લાખો ખેડૂતોના ખેતર પરના મગફળી સહિતના પાકો તબાહ થયા હતા. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં થયેલા વરસાદના કારણે મગફળી સહિતના મુખ્ય પાકોમાં વ્યાપક નુકસાન થયું, જિલ્લામાં અમીરગઢ અને દાંતીવાડા તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. રાજ્ય સરકારે પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી સમગ્ર રાજ્ય માટે રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને એસડીઆરએફ (SDRF)ના ધોરણ મુજબ પાક નુકસાન સહાયની જાહેરાત કરી હતી. આ મુજબ પિયત અને બિનપિયત જમીન માટે મહત્તમ 2 હેક્ટર સુધી પ્રતિ હેક્ટર કુલ રૂ. 44,000 સુધી સહાય બેન્ક એકાઉન્ટ મારફતે આપવાની જોગવાઈ કરી હતી. હાલમાં અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં સરકારની સહાયની રકમ જમા થઈ રહી છે.જોકે સહાયની અમલવારીમાં ખામીઓ સામે આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે ખોટા સર્વે, અધૂરી માહિતી અને ડેટા એન્ટ્રીની ભૂલોના કારણે નુકસાન ભોગવનારા ખેડૂતોને રૂ. 35,000થી 37,000 મળવા બદલે ફક્ત રૂ. 6,000થી 7,000 જેવી નામ માત્ર રકમ જમા થઈ છે. સર્વે ટીમોના લાપરવાહ કર્મીઓની બેદરકારી અને નિષ્ક્રિયતાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 9 ગામોના ખેડૂતો સુધી પહોંચવું મુશ્કેલ હતું ખેતીવાડી વિભાગ દ્વારા જુદા જુદા ગ્રામસેવકોને સર્વે માટે કામગીરી સોંપવામાં આવી હતી. એક સર્વેયરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે મને નવ ગામો ફાળવવામાં આવ્યા હતા અને માત્ર ત્રણ જ દિવસ હતા જે તમામ 9 ગામોના ખેડૂતો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. જેથી બને એટલું ઝડપથી સર્વે થાય તેવો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક ખેડૂતો સર્વેમાં બાકી રહી ગયા હતા.> સર્વેયર (ખેતીવાડી વિભાગ) ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું સર્વેયર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે મુજબ ચુકવણું કરવામાં આવી રહ્યું છે. કોઈ ખેડૂતની ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. : ખેતીવાડી વિભાગ બનાસકાંઠા ટીમ પાંચ-છ ખેડૂતોનો જ સર્વે કરી જતી રહી અમીરગઢના ખેડૂતએ જણાવ્યું કે અગાઉ સર્વે માટે બનાવેલી ટીમો ગામડાઓમાં માત્ર દેખાવ પૂરતી જઈ પાંચ-છ ખેડૂતોનો જ સર્વે કરી પરત ફરી ગઈ હતી. મને વરસાદમાં મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો પરંતુ મામુલી 8 હજારનું વળતર આવ્યું. જેમને મારા કરતાં ઓછું નુકસાન હતો તેવા ખેડૂતોને 16,000 થી 32 હજાર સુધીનું વળતર આવ્યું. આમ આડેધડ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે. ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું‎સર્વેયર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે મુજબ ચુકવણું કરવામાં આવી રહ્યું‎છે. કોઈ ખેડૂતની ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. :‎ખેતીવાડી વિભાગ બનાસકાંઠા‎

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રેસ્ક્યૂ:ઓડદર ગામે વાડી વિસ્તારમાં અજગર ચઢી આવ્યો

પોરબંદરના ઓડદર ગામે વાડી વિસ્તારમાં એક અજગર ચડી આવતા ઈગલ ગ્રુપને જાણ કરવામાં આવતા ટીમના રેસ્ક્યુઅર દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયુ હતું.પોરબંદરના ઓડદર ગામે સતીઆઈનાં વિશામાં પાસે વાડી વિસ્તારમાં રહેતાં મહાકાય અજગર ચડી આવ્યો હતો, સ્થાનિક અરભમભાઈ ઓડેદરા દ્વારા પોરબંદરની ઈગલ ગ્રુપ સંસ્થાને અજગર અંગે જાણ કરી હતી, જેથી ગ્રુપના રેસ્ક્યુઅર વિમલ મોકરિયા, સાહિલ માડમ અને અશોક ગોહેલ સ્થળ પર પહોંચ્યા હતા. 6 ફૂટ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. અજગરને પકડીને પ્રકૃતિનાં ખોળે મુક્ત કર્યો હતો. અજગરનું રેસ્ક્યુ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

દરોડો:બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી, પોલીસે રૂ.45,950નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાણાવાવ પોલીસ મથકના પીઆઈ એન.એન. તળાવીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે બરડા ડુંગર ખાખરાવારાનેશ નજીક પાણીની ઝરના કાંઠે દરોડો પાડતા ભાણવડ તાલુકાના ધ્રામીનેશમાં રહેતો દેવા કારા શામળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. અહીંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.1600 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.45,950નો મુદામાલ મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:ગોસા ગામે બંદૂકથી ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપી જેલ હવાલે

ગત તા. 11/12ના રોજ ગોસા ગામે રહેતા કાનાભાઇ નાથાભાઇ ઓડેદરાએ ફરીયાદ જાહેર કરેલ હતીકે, અજાણ્યા શખ્સે ભરતભાઈ નાથાભાઇ ઓડેદરા નામના યુવાનને જમણા પગે સાથળના ભાગે દેશી હાથ બનાવટની બંદૂકથી ઇજા કરી મોત નિપજાવેલ. એલસીબી ટીમ દ્વારા આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્હામાં ગોસા ગામ વાડી વિસ્તારમાં વાડીઓમાં રખોલુ કરવા માટે ગામ લોકો દ્વારા ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા કાસમ જુમા ખારી તથા સાજણ ખારીને રૂ.90 હજાર આપી રખોલુ કરવા માટે સીમમાં રાખવામાં આવેલ. અને આ હત્યાના બનાવ બાદ બંન્ને શખ્સની શોધખોળ કરતા શખ્સો મળી આવ્યા ન હતા. કાસમ અને સાજણ બંન્ને કાકા-ભત્રીજા થતા હોય, બનાવ બન્યા બાદ બંન્ને શખ્સ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમી આધારે એલસીબી ટીમે સુરેન્દ્રનગર ખાતે પહોંચીને કાસમ જુમા ખારીને સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ કાંઠે આવેલ ઝુપડપટ્ટી માંથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી અને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રજૂઆત:પોરબંદરના ઔદ્યોગિક વિકાસ,રોડ અને બ્રિઝના રિપેરીંગ, એરપોર્ટનો રન-વે વધારવા અને વંદેભારત ટ્રેન ફાળવવા માંગ

પોરબંદરના ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક પ્રતિનિધિ મંડળ દ્વારા દિલ્હી ખાતે મંત્રીઓને મળી પોરબંદરના ઔદ્યોગિક વિકાસ,રોડ અને બ્રિઝના રીપેરીગ, એરપોર્ટનો રનવે વધારવા અને વંદેભારત ટ્રેન ફાળવવા અંગે રજુઆત કરી હતી. પોરબંદર બંદર વિદેશો સાથે આયાત-નિકાસ માટે દરિયાઈ સુવિધા તેમજ દેશના વિવિધ સ્થળો સુધી આયાત કરેલો માલ પહોંચાડવા અને નિકાસ માટેનો માલ સામાન બંદર સુધી પહોંચાડવા રેલ્વે સહીતની સુવિધાઓ ઉપલબ્ધ હતી જે પોરબંદર અને તેની આસપાસનો વિસ્તાર વેપાર વાણિજયની બાબતે સોળે કળાએ ખીલી ઉઠયો હતો તેવા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રહી છે. આયાત નિકાસ અને વેપાર વાણિજયને લગતી સંપૂર્ણ સુવિધાઓથી સજજ પોરબંદર શહેર અને આસપાસ નો વિસ્તાર મહારાણા મિલ, જગદીશ ઓઇલ મીલ, સિમેન્ટ ઉદ્યોગો, સૌરાષ્ટ્ર કેમિકલ જેવા મોટા ઉદ્યોગો અને જીઆઇડીસી ના ધમધમતા નાના મોટા ઉદ્યોગો એવી અનેક નાની મોટી કંપનીઓથી ધમ ધમી રહ્યું હતું. પરંતુ હાલ ઉધોગો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે જેથી પોરબંદરના ઉદ્યોગોનો વિકાસ સહિતના પ્રશ્નો બાબતે દિલ્હી ખાતે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળના સભ્ય અનિલભાઈ કારીયા, જતીનભાઈ હાથી, ટી. કે. કારીયા, જયેશભાઈ પતાણી, સુરેશભાઈ રાયઠઠ્ઠા, નવઘણભાઈ મોઢવાડિયા તથા સુમિતભાઈ સેલેટ એ મુલાકાત કરી રજુઆત કરી હતી. ક્યાં ક્યાં મુદ્દાઓ પર રજુઆત કરી (1) પોરબંદર બાયપાસના સર્વિસ રોડ અને બંદરને જોડતા રોડને તથા તેના પર આવેલા બ્રીજોના સમારકામ, પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તથા બંદરને જોડતા ટુ-લેન રોડને ફોર-લેન તરીકે અપગ્રેડ કરી તેના જર્જરીત પુલોની જગ્યાએ નવા પુલો બનાવવું (2) પોરબંદર થી અમદાવાદ સીધી ફ્લાઈટ,પોરબંદર એરપોર્ટના રનવે કે જે હાલ 1300 મીટરનો છે તેને લંબાવીને 2600 મીટરનો કરવા (3) વંદે ભારત જેવી ટ્રેનો પોરબંદરને મળે ઉપરાંત પોરબંદર ના ઔદ્યોગિક વિકાસ માટે રેલવે ને લગતા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ નું આયોજન પણ હાથ ધરવામાં આવે (4) પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે ડિફેન્સને લગતા મોટા મેન્યુફેકચરીંગ ઉદ્યોગને પોરબંદર વિસ્તારમાં સ્થાપવા

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

જાગૃતિ:હરિપરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી વિશે વિસ્તૃત સમજણ, સરકારી યોજનાથી વાકેફ કર્યા

પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના કુલ 300 જેટલા પશુપાલકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. કાર્યક્રમ સ્થળે પશુપાલન સંબંધિત વિવિધ પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની પશુપાલકોએ રસપૂર્વક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જિલ્લામાં ચાલતી ''પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી'' વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. પશુપાલકો સરકારી યોજનાઓથી સતત વાકેફ રહે તે માટે પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા પણ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પશુપાલકોએ પોતાના વ્યવસાયને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું તજજ્ઞો દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પશુપાલકોને તેમની આવક વધારવા અને પશુપાલન વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. શિબિર દરમિયાન પશુપાલન ખાતાના તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન પદ્ધતિઓ, પશુઓમાં રોગ નિવારણ અને પશુપાલન થકી આર્થિક સમૃદ્ધિ મેળવવા અંગે જ્ઞાનવર્ધન માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે મહાનુભાવોના હસ્તે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ 6 લાભાર્થીઓને કુલ રૂ. 2.76 લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ વડોદરિયા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, સભ્ય કરશનભાઈ સોચા અને હરિપરના સરપંચ તુલસીભાઈ અકબરીએ હાજર રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

સુવિધા:મિલ્કત વેરાની કામગીરી માટે આધુનિક સોફટવેર ઘણો ઉપયોગી

જામનગર મહાનગરપાલિકો જીઆઈબેઝ આરએડપીના કાર્યક્ષેત્ર મુજબ જીબાઇબેશ સોફ્ટવેરનું અમલીકરણ કરી રહી છે. જે મહાનગરપાલિકાના વિભાગીને તેમની પ્રતિદિન સંચાલન પ્રવૃત્તિઓ. નિર્ણય લેવાની પ્રક્રિયા અને આવકમાં ભારે ફાયદાકારક થશે. જીઆઈએસ સોફ્ટવેર, પ્રોપર્ટી ડેટાના નકશાના (મેપિંગ) અને જોડાણ સાથે. મિલકત વૈરાની વસૂલાતની સારી સમજ પૂરી પાડે છે અને વેરા પ્રણાલીમાં ન હોય તેવી મિલકતોની ઓળખ કરવામાં મદદ કરે છે. સેટેલાઇટ ઇમેજીસ નો ઉપયોગ કરીને જમીનના ફેરફારની શોધ (પેન્જ ડિટેક્શન), શહેરના વિકાસની પેટર્ન અને ચૌક્કસ શ્રેણીમાંથી જમીનના ઉપયોગમાં થતા ફેરફારોને જાણવામાં સક્ષમ બનાવે છે, જેમ કે કેટલી જમીન હવે બાંધકામ (બિલ્ટ અપ) માં વપરાય છે, કેટલો વિસ્તાર ગ્રીન કવર હેઠળ આવરી લેવાયો છે. ખુલ્લી જમીનમાંથી કેટલી જમીન બાંધકામમાં તબદીલ થઈ છે અથવા ગ્રીન કવર ઘટાડો થયો છે. અને ગેરકાયદેસર દબાણ (એન્કોયમેન્ટ) ની ઓળખ છે. વહીવટી સીમાઓ, માસ્ટર પ્લાન, ટીપી સ્કીમ, મિલકત, રસ્તાઓ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને અન્ય ડેટા સંબંધિત તમામ માહિતીને સેટેલાઇટ ઇમેજીસ સાથે એકત્રિત કરવામાં આવે છે. તેથી, આ સંકલનપૂર્ણ (કોઓર્ડિનેશન) રીતે કાર્ય કરવા અને યોગ્ય રીતે આયોજન કરવા માટે ઉપયોગી છે. જામનગર મહાનગરપાલિકા પાસે જીઆઈએસ સોફટવેરનું કાયમી લાઇસન્સ રહેશે અને તે એડવાન્સ્ડ ફીયર્સ સાથેના તમામ 2ડી, 3ડી નકશા અને વિશ્લેષણ ને સપોર્ટ કરે છે. એજન્સી મેન્ટેનન્સ તબક્કામાં પોતાના મેનપાવર ને નિયુક્ત કરશે, જેઓ જીઆઈએસ સંબંધિત દૈનિક પ્રવૃત્તિઓ કરશે અને વિભાગના કર્મચારીઓને તેમના જીઆઈએસ વપરાશ અને જેસ-રિયાતો માટે સપોર્ટ પણ આપશે. ડ્રોન ડેટાનો પણ સપોર્ટેડ છે. તેથી ડ્રોનનો ઉપયોગ કરીને ડેટા જનરેટ કરવો અને કેટલાક મુખ્ય સ્થાનોનું 3ડી લેઉટ અથવા કેટલીક મહત્વપૂર્ણ ઇવેન્ટ દરમિયાન જ્યાં 3ઉ ડેટા આયોજન માટે ઉપયોગી હોય, તે જનરેટ કરવા માટે તે ફાયદાકારક છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ટુરીઝમને વેગ મળશે‎:દેવભૂમિના ગાંધવીથી હર્ષદ માતા મંદિર સુધી 68 કરોડના ખર્ચે ફોરટ્રેક રોડ બનશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીથી સુપ્રસિધ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર સુધી લગભગ 68 કરોડના ખર્ચે અંદાઝીત સાત કિલોમીટરનો આધુનિક ફોર ટ્રેક સીસી રોડ બનાવવામાં આવશે.ચોવીસ મીટર પહોળો આ સુચિત માર્ગ પર ફુટપાથ,લાઇટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને પ્રવાસન થકી જિલ્લામાં રોજગાર અને વિકાસની નવી દિશાઓ ખુલે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર અગત્યનું પ્રવાસન કેન્દ્ર છે. ગાંધવી (પોરબંદર- દ્વારકા હાઈવે) થી હર્ષદ માતા મંદિરનો આ પ્રસ્તાવિત ફોર ટ્રેક સી.સી. રોડ ધાર્મિક પ્રવાસન સ્થળને સારી કનેક્ટીવીટી પુરી પાડશે અને કોસ્ટલ ટુરીઝમને વેગ આપશે. આ પ્રોજેક્ટ થકી વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે. આ રોડ અંદાજિત 7 કી.મી.નો 24 મીટર રસ્તો વરસાદી પાણી નિકાલ, ફુટપાથ, લાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. જે દરિયાકાંઠા નજીક એક સુંદર દૃશ્યનું નિર્માણ કરશે. રસ્તાઓ વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ- સ્ટેટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે. ભાણવડ ચાર પાટીયાથી કપુરડી પાટીયા સુધી રોડનું રીસર્ફેસીંગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, જે અનુસંધાને લાલપુર અને પોરબંદરને જોડતાં રસ્તાના ભાણવડ ચાર પાટિયાથી કપુરડી પાટિયાને જોડતા ભાગનું રીસરફેસીંગ કામ મંજુર કરવામાં આવેલ છે. લગભગ 8.6 કી.મી. રોડનું રીસરફેસાંગ અંદાજિત 9.53 કરોડના ખર્ચે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

વાતાવરણ:10 દિ' બાદ ઠંડીનું જોર વધ્યુ, પારો 14 ડિગ્રી

જામનગર શહેરમાં દશ દિવસ સુધી તિવ્ર ઠ઼ડીથી આંશિક રાહત બાદ ગુરૂવારે ફરી લઘુતમ તાપમાન બે ડિગ્રી ગગડી 14 ડિગ્રી પર સ્થિર થતા ઠંડીનુ જોર વધ્યુ હતુ.જેના પગલે જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. મહતમ પારો પણ એક ડિગ્રી ગગડીને 29 ડિગ્રી રહેતા બપોર સિવાયના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં ગત નવેમ્બર માસથી ઠંડીના પગરવ બાદ હજુ સુધી શિયાળાએ દર વર્ષ જેવી જમાવટ કરી ન હોવાનો અહેસાસ જનજીવન કરી રહયુ છે.ડીસે.ના બીજા સપ્તાહ બાદ રાત્રીનુ તાપમાન મોટા ભાગે 16-17 ડિગ્રી પર સ્થિર રહેતા સામાન્ય ઠંડીનો મુકામ રહયો હતો જે દરમિયાન ગુરૂવારે ફરી શિયાળાએ આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન એક જ દિવસમાં બે ડિગ્રી ગગડયુ હતુ અને પારો 14 ડીગ્રી પર સ્થિર થયો હતો. જે સાથે મહતમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થતા 29 ડિગ્રી નોંધાયુ હતુ.સાથો સાથ પવનનુ જોર વધ્યુ હતુ.પ્રતિ કલાક સરેરાશ દશથી વીશ કિ.મિ.ની ઝડપે પવન ફૂ઼કાયો હતો.જેના પગલે સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ટાઢોડુ છવાય હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલારીઓ હજુ સુધી હેમાળાની જમાવટથી અલપ્તિ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

લોકો ત્રસ્ત‎:રણજીતસાગર રોડ પર ઈંડાકળીની‎22 રેંકડીઓનું દુષણ

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર નાનકપુરીથી પંપ હાઉસ સુધીના રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ઈંડાકળીની રેંકડીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલ આ વિસ્તારમાં અંદાજે 22થી વધુ ઈંડાકળીની રેંકડીઓ સાંજ પડતા જ એકસાથે ઉભી થઈ જાય છે. શરૂઆતમાં રોજગારનું સાધન ગણાતી આ રેંકડીઓ હવે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી મુશ્કેલીનું કારણ બની રહી છે. રાત્રીના સમયે નશામાં ચૂર લોકો મોટી સંખ્યામાં અહીં ઈંડાકળી ખાવા આવતા હોય છે. નશાકારક પદાર્થોના સેવન બાદ તેઓ જાહેર સ્થળે ઉંચા અવાજે ગાળો બોલતા, ઝઘડા કરતા અને અવ્યવસ્થિત વર્તન કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. કેટલાક પ્રસંગોમાં તો મોડી રાત સુધી હંગામા થતા શાંતિપૂર્ણ વાતાવરણ ખોરવાઈ જાય છે. તો અમુક રેંકડીવાળા સફાઈ કરીને ઈંડાકળીના ફોતરાઓ નહેરમાં નાંખવામાં આવે છે. ઈંડાની છાલ અને પ્લાસ્ટિક ફેલાતાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જે સ્વચ્છતા માટે પણ ખતરો બની રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓની લાગણીઓને માન આપીને હિન્દુ સંસ્થા દ્વારા તહેવારોમાં આ ઈંડાકળીની રેંકડીઓ બંધ કરવાની મ્યુ.તંત્ર અને પોલીસ તંત્રને રજુઆત કરવામાં આછી છે. પરંતુ તેની અસરકારક કાર્યવાહી થતી નથી.અત્રે ઉલ્લેખનિય છે કે, ઈંડાકળીની રેંકડીઓ માટે નિયત સમય અને સ્થળ નક્કી કરવામાં આવે તેમજ રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે, તેવી લોકોની માંગ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ઠગાઇ:સેલ્સમેનના બેંક ખાતામાંથી લાખોની હેરફેર મામલે ફરિયાદ

જામનગર શહેરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.9 લાખ 90 હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.17માં પરમ એપાર્ટમેન્ટમાં રહેતા વિમલ રાજેશભાઈ મહેતા નામના આસામીનું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં પુનીત રાઠોડ નામના આસામીએ રૂ.9 લાખ 90 હજારની રકમ જમા કરાવી દીધી હતી. આ રકમ જેના ખાતામાંથી ટ્રાન્સફર થઈ તેઓએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના સાથે ગયા વર્ષના જુન મહિનાથી સતત દોઢ વર્ષ સુધી ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ થઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાદાર વી.જે. સોનગરાએ ખુદ ફરિયાદી બની વિમલ તથા પુનીત રાઠોડ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. રાજય સરકાર દ્વારા બોગસ તેમજ ભાડે આપેલા ખાતાઓ ઉપર તવાઇ બોલાવવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં પણ અસંખ્ય ખાતાઓ બોગસ મળી આવ્યા છે, જેમાં લાખો રૂપિયાની લેવડદેવડ થઇ છે. આવા લોકોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ પણ કરી છે. ત્યારે સેલ્સમેનના ખાતાનો આ વધુ એક બનાવ સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

તપાસ:પુલ ઉપરથી અજાણી વ્યકિતએ છલાંગ લગાવ્યાની ભેદી ઘટના

જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલા રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા શખ્સે ઝંપલાવી દીધુ હોવાની ઘટના બાદ ત્યાં ટ્રાફિકજામ થઈ ગયો હતો પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની મોડે સુધી શોધખોળ છતાં યુવાન મળી આવ્યો ન હતો. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નદીના પુલ ઉપરથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા છલાંગ લગાવી આત્મહત્યાની કોશીષ કરી હતી.તે દરમ્યાન પુલ પરના રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ ઘટના પુલ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના ની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ પુલ પર આવીને લોકોના ટોળા અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા જામનગર ફાયર વિભાગ ને જાણ કરાઇ હતી. ત્યારબાદ, જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ આવી પહોંચ્ચી હતી અને પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા અજાણ્યા વ્યક્તિને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.પરંતુ આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિ ની શોધ સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવી હતી પણ વ્યક્તિ મળી આવેલ ન હોવાથી આશ્ચાર્ય સાથે રહસ્યના તાણાવાણા સર્જાયા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

મેરી ક્રિસ્મસ:જામનગર શહેરના ચર્ચમાં મધરાત્રે ભગવાન ઈસુના જન્મના વધામણા થયા, કેથોલિક પરિવાર જોડાયા

જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં પ્રતિવર્ષ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ નાતાલ તહેવાર લઈ ને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેથોલિક પરિવારો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી અને પ્રાર્થના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલા અન્ય નાના ચર્ચોમાં પણ નાતાલની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1967માં સ્થાપિત જામનગરના અંબર ચોકડી પાસે આવેલ સેક્રેટ હાર્ટ ચર્ચમાં નિયમિત પ્રાર્થનાઓ યોજાય છે. રેવ. ફાધર ડો. મનુ ચેરુમુત્તથુપદીના માર્ગદર્શન હેઠળ ચર્ચ ધાર્મિક પ્રવૃત્તિઓથી જીવંત છે. નાતાલ નિમિત્તે ચર્ચ અને ખ્રિસ્તી પરિવારોના ઘરોને ઝળહળતી રોશની અને ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવ્યા છે. 24 ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યે મધ્યરાત્રિ નાતાલની ઉજવણી કરવામાં આવી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને આનંદ પ્રસરે તેવી પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે સેન્ટ એન્સ અને સેન્ટ ઝેવિયર્સ શાળાઓમાં પણ નાતાલની વિશેષ ઉજવણી યોજાઈ રહી છે, જેને જોવા નગરજનો ઉમટી રહ્યા છે. મુખોટા, લાલ ટોપી સહિતના વેશભૂષાનું વેચાણ શરૂજામનગરની બજારોમાં તહેવારી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં સાન્તાક્લોઝના મુખોટા, લાલ ટોપી, દાઢી તેમજ સંપૂર્ણ વેશભૂષાના વેચાણ શરૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

નિર્ણય:સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના કામ માટે 81.62 લાખ મંજુર

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઇ, રોડ, ભૂગર્ભ ગટર,સિકયુરીટી સહિતના જુદા જુદા વિકાસ કામો માટે રૂા. 9.82 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.જેમાં ખંભાળિયા રોડ પર સ્પોટર્સ કોમ્પલેક્ષ(ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસી આપવાના કામ માટે રૂા. 81.62 લાખના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બુધવારે બપોરે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વોટર વર્કસ શાખામાં દશ સીટી ઇએસઆરના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ(બે વર્ષ) કરવાના કામ માટે રૂા. 241.64 લાખ, શહેર ઝોન-2માં જુદીજુદી પાઇપલાઇનના મજુરી કામ માટે વધારાના 22.49 લાખ,ખંભાળિયા રોડ પર હોટલ વિશાલ પાછળ ટીપી સ્કીમ નં.2,અંતિમ ખંડ નં. 98 વાળી જગ્યામાં સ્પોટર્સ કોમ્પલેક્ષ ( ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવાના કામ માટે રૂા. 81.62 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો. વોર્ડ નં.7માં પ્રમુખ પાર્ક સોસાયટી માર્ગ તથા કવાલીટી વોલ આઇસક્રિમ પાસેના રસ્તા પર સીસી રોડ માટે 207.58 લાખ,વોર્ડ નં.9માં ગુરૂધ્વારા બાજુની શેરીમાં સીસી રોડ માટે 37.71 લાખ વોર્ડ નં. 5માં સીસી રોડ કામ માટે રૂા. 33.63 લાખ ઉપરાંત મનપામાં સિકયુરીટી સેવાઓની મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ સંદર્ભે 13.90 લાખના ખર્ચને મંજુરી સહિતની દરખાસ્તોને બહાલી અપાઇ હતી. જયારે ખાલી જગ્યા પર ડે.સેક્રેટરી તરીકે ચંદ્રેશ બી. સંધાણીને બઢતી આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી. 25 પૈકી 1 દરખાસ્ત નામંજુર કરાઈ,1 પેન્ડીંગ રાખવાનો નિર્ણયસ્થાયી સમિતની બેઠકમાં ચેર સહિત વિવિધ 25 દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી.જયારે મનપાની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર,પ્રિન્ટર, લેપટોપ, યુપીએસ વગેરેની ખરીદીની દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી. જયારે વોર્ડ નં. 5માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ અંગેની દરખાસ્તને નામંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

હુમલો:અમરેલીમાં જાહેરમાં દાડમા ગામના 30 વર્ષીય યુવકને છરીના 6 ઘા મારી દીધા

અમરેલીમાં હીરામોતી ચોકમાં બપોરના સમયે દાડમા ગામના 30 વર્ષિય યુવકને ગાવડકાના શખ્સે છરીના છ ઘા ઝીંકી દીધા હતા. એક વર્ષ પૂર્વે થયેલા ઝગડાનું મનદુ:ખ રાખી યુવક પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ગાવડકાના શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. લીલીયાના દાડમાં ગામે રહેતા આણંદભાઈ દેહાભાઈ સારીખડા (પરમાર)એ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના દિકરા જીજ્ઞેશભાઈ આણંદભાઈ સારીખડા (પરમાર) (ઉ.વ.30)ને ગાવડકાના મેહુલ ખોડાભાઈ હેલૈયા સાથે એક વર્ષ પૂર્વે ઝગડો થયો હતો. 23 ડિસેમ્બરના રોજ બપોરના સમયે જીજ્ઞેશભાઈ સારીખડા પર મેહુલ ખોડાભાઈ હેલૈયાએ અમરેલીના હીરામોતી ચોક બીનહરીફ દાબેલી પાસે છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં જીજ્ઞેશભાઈ સારીખડાને ગંભીર ઈજા પહોંચી હતી. મેહુલે જીજ્ઞેશભાઈને છરીના છ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાતા પીએસઆઈ જે.બી.ત્રિવેદી વધુ તપાસ ચલાવી રહ્યા છે. યુવક કારખાના તરફ દોડ્યો પરંતુ હુમલાખોર ત્યા ધસી હુમલો કર્યો અમરેલીમાં બપોરના સમયે 30 વર્ષિય યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જીજ્ઞેશભાઈ હુમલાખોરથી બચવા હીરાના કારખાના તરફ દોડ્યા હતા. પરંતુ મેહુલ હેલૈયા કારખાનામાં ધસી ગયો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કચરાના ઢગમાંથી રોજગાર શોધ્યો:પ્લાસ્ટિક વેસ્ટનો કચરો વેચી 35 મહિલા સ્વસહાય જૂથ દર મહિને રૂપિયા 4 હજારની આવક મેળવે છે

અમરેલી જિલ્લામાં 156 ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેકશન દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતી સાથે સુશાસન દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય અને સ્વચ્છતા માટે નિર્મળ ગ્રામ પુરસ્કાર જેવી યોજનાઓનો તેમણે પાયો નાંખ્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલજીએ હંમેશા મજબૂત ગ્રામીણ માળખાનું સ્વપ્ન જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં નિર્મળ ગુજરાત 2.0 હેઠળ નગરપાલિકા વિસ્તારના 156 ગામોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય કક્ષાએ પીયુઆરએ મોડેલને કેન્દ્રમાં રાખી સુવ્યવસ્થિત રીતે ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું હતુ કે હાલમાં જિલ્લામાં કુલ 8 નગરપાલિકાના શહેરી હદ વિસ્તારથી 10 કિલોમીટર ત્રિજ્યામાં સમાવિષ્ટ ગામડાઓમાં રહેણાંક તથા બિન-રહેણાંક મિલ્કતોમાંથી દરરોજ નિયમિત રીતે ઘન કચરાનું કલેક્શન કરવામાં આવે છે. આ નવતર અભિગમ થકી ગામડાઓ સ્વચ્છ બનશે. પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો કચરો એકત્ર કરી તેના વેચાણ દ્વારા 35 મહિલા સ્વસહાય જૂથ દર મહિને 4 હજાર સુધીની આવક મેળવે છે. નારી શક્તિનો આ નવો રાહ તેમને આત્મનિર્ભર બનાવી રહ્યો છે. મિશન મંગલમની મહિલાઓએ કચરાના ઢગલામાંથી આર્થિક ઉન્નતિને શોધી છેનિર્મળ ગુજરાત 2.0 અભિયાન માત્ર ઘન કચરાનું ડોર-ટુ-ડોર વૈજ્ઞાનિક ઢબે કલેક્શન અને વ્યવસ્થાપન સુધી જ મર્યાદિત નથી. પરંતુ અમરેલીમાં તેનું મિશન મંગલમ યોજના સાથે પણ જોડાણ છે. મિશન મંગલમની બહેનોએ કચરાના ઢગલામાંથી રોજગાર અને આર્થિક ઉન્નતિને શોધી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આવેદનપત્ર:નર્મદા જિલ્લામાં નાતાલ પર્વએ ધર્માંતરણની પ્રવૃતિ રોકવા માટેની રજૂઆત કરવામાં આવી

નાતાલનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે નર્મદા સહીતના આદિવાસી જિલ્લાઓમાં ધર્માંતરણની પ્રવૃતિએ વેગ પકડયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત આદિવાસી મંચ દ્વારા લગાવાયા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ સાથે હિન્દુ ધર્મના સંતો, રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનો અને હોદ્દેદારો ભેગા થયા હતાં. ધર્માંતરણ રોકવા દેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી. રાષ્ટ્રીય આદિવાસી મંચ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચો બનાવી ખ્રિસ્તી (હાલેલુયા), પાષ્ટરો તરફથી આદિવાસી સમાજનુ મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ પાષ્ટરો દ્વારા આદિવાસી સમાજમાં ધર્માંતરણ કરાવાય છે. અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલ પર્વની પરવાનગી આપવામાં આવે છે એ પરવાનગી આપવામાં ન આવે એવી અમારી માંગ છે.ધર્માંતરણ રોકવામાં નહી આવે તો અમે મોટુ આંદોલન કરીશું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

નવી આશાનું કિરણ:વલસાડમાં વિજ્ઞાન છાત્રો માટે આધુનિક પ્રયોગશાળા

વલસાડ જુજવા ખાતે આઇપી ગાંધી સાર્વ. માધ્યમિક શાળામાંઅભ્યાસ કરવા આવતા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘણા વર્ષોથી અદ્યતન સાયન્સ લેબોરેટરીની ખોટ વર્તાઈ રહી હતી.જેને ધ્યાને લઇ આખરે આ સ્વપ્ન સાકાર કરવા ગાંધી પરિવાર દ્વારા શાળામાં શ્રીચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરન નિર્માણ ગાંધી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાના વડીલ ધનલક્ષ્મી ગાંધી દ્વારા આ અદ્યતન સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે સખી ગાંધી પરિવારના બંને પુત્રો રાજેશભાઈ અને વીરાજ ગાંધી. ઉપસ્થિત રહ્યા હતા. ચાહના બેન ગાંધી, અગ્રવાલ તથા તેમની ટીમનો વિશેષ સહકાર મળ્યો હતો‌. મંડળના માર્ગદર્શક અને પથ દર્શક ભરતભાઈ દેસાઈએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ,ગાંધી પરિવાર જોડે તેમનો ગાઢ સંબંધ છે અને રહેશે, તેમજ શાળાની પ્રગતિ સતત વધતી રહે તેવી અભ્યર્થના ગુજારી હતી.ડીઈઓ ડો. રાજેશ્રી ટંડેલે મંડળ અને શાળાને અભિનંદન પાઠવી વધુ બાળકો વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે માટે પ્રયત્ન કરવા સૂચન કર્યું હતુ.હાલ વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના બાળકોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આવી અદ્યતન પ્રયોગશાળા અને સરકારની બે યોજના, નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના દ્વારા રૂ.50,000ની સહાય પ્રાપ્ત કરી શકે છે, જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જાય. વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી વલસાડ જિલ્લામાં જ આવેલી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીની તકો વિશે વાત કરી હતી.મંડળના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલે સૌનોઆભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સોનલબેન અને દીપિકાબેન પટેલ અને મંડળના સંચાલક પ્રમુખ સુનિલભાઈએ પ્રાસંગીક વક્તવ્ય રજૂ કરી ગાંધી પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં અતિઆધુનિક પ્રયોગશાળા મળવાથી ગ્રામ્ય વિસ્તારના વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વિષય મુજબ કોઇપણ પ્રયોગ કરવામાં સરળતા રહેશે. આ પ્રયોગ શાળાના નિર્માણથી સ્થાનિક બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં ઉપયોગી નીવડશે બાળકોને જીવ વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન, અને ભૌતિક વિજ્ઞાનની, અદ્યતન પ્રયોગશાળા દ્વારા આ વિશાળ ગ્રામિણ અને આસપાસના ગામો તથા અન્ય પંથકના બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં આ શાળાની આધુનિક પ્રયોગ શાળા ખૂબ લાભદાયી નીવડશે. >સુનિલ પટેલ, પ્રમુખ,સંચાલક

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:ડાભેલના આદિવાસી યુવાનની હત્યા‎કેસમાં વધુ એક આરોપી ઝડપાયો‎

ડાભેલ ગામે રહેતા આદિવાસી યુવાનને તેના માલિકોએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. જેની પોલીસે હત્યાની કલમ ઉમેરતા વધુ એક આરોપીની અટક કરવામાં આવી હતી. જેના બે દિવસ ના રિમાન્ડ મંજૂર થયા હતા. જલાલપોર તાલુકાના ડાભેલ ગામે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને સ્થાનિક કસાઈઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ કેસમાં પાંચ આરોપીના નામ મૃતકની પત્નીએ આપ્યા હતા, જે પૈકી નવસારી એસસી એસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ માહિતી આપતા જણાવ્યું કે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા ઊભા કર્યા બાદ એક વધુ આરોપી શૌકત ઉસ્માન એકલવાયાની અટક કરી હતી. મૃતકની પત્નીએ એકલવાયા પરિવારના પાંચના નામ આપ્યા હતાજ્યાં સુધી પતિના હત્યારાઓની અટક નહીં કરવામાં આવે તો સુધી પતિની લાશનો કબજો લેશે નહીં તેમ મૃતક દીપક હળપતિની પત્ની સુનિતાબેને કહ્યું હતું. જેમાં એકલવાયા પરિવારના 5 સભ્યોના નામ આપ્યા હતા. જેમાં પોલીસે અટક કરેલ શૌકત ઉસ્માન એકલવાયાનું નામ પણ હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

જન્મદિન વિશેષ:જ્યારે અટલજીને સાંભળવા આવેલ લોકોથી લુન્સીકૂઇ ખીચોખીચ ભરાયું

25 ડિસેમ્બરનો દિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન વાજપેયીનો જન્મદિન છે. તેમની સાથે નવસારીની યાદો પણ જોડાયેલ છે.આમ તેઓ એકથી વધુ વખત જિલ્લામાં આવ્યા, સભા સંબોધી હતી પણ 1980 ના અરસામાં શહેરના લુન્સીકૂઇમાં કરેલ જાહેરસભા યાદગાર હતી અને તેઓ ભારે ખીલ્યા હતા. ‘તેલ દેખો તેલકી ધાર દેખો ઈન્દિરાકી સરકાર દેખો’ એ તેમનું મોઘવારી અંગેનું વાક્ય ભારે પ્રચલિત બન્યું હતું. સભા સ્થળ ઉપરથી હેલિકોપ્ટર પસાર થતા ઇન્દિરા ગાંધીને લઇ ટકોર પણ કરી હતી. અનેક માર્મિક કટાક્ષ પણ અટલજી એ તે સમયે કર્યા હતા. લુન્સીકૂઇ મેદાન ઉપર તેમને સાંભળવા માત્ર નવસારી નહીં જિલ્લાભરના ગામે ગામથી લોકો આવ્યા હતા અને વિશાળ મેદાન ખીચોખીચ ભરાઈ પણ ગયું હતું. સ્થાનિક અગ્રણી નવીનભાઈ ધીમ્મર જણાવે છે કે તે સમયે શહેરમાં ફુવારાથી રેલી પણ નીકળી હતી. વાજપેયીજી ઐતિહાસિક દાંડી પણ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:અમલસાડના રેલવે બ્રિજ પર ડામર ગાયબ

નવસારીના અમલસાડમાં રેલવે ફ્રેઇટ કોરિડોર અંતર્ગત નિર્મિત ફલાય ઓવરબ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ ઓવરબ્રિજને ખુલ્લો મુકાયાને માંડ એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યાં જ સરીબુજરંગ તરફના પશ્ચિમ છેડે એપ્રોચ રોડ પરનો ડામર તૂટી ગયો છે. હાલત એવી છે કે ડામરના બદલે માત્ર રેતી અને ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. અમલસાડ બ્રિજના અંતે રોડ પર ફેલાયેલી રેતીને કારણે ખાસ કરીને ટુ-વ્હિલર અને મોપેડ ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. આ પોઈન્ટ પર ત્રણ રસ્તાઓ મળતા હોવાથી જો કોઈ બાઈક સવાર સ્લીપ થાય, તો સામેથી આવતા અન્ય વાહન સાથે અકસ્માત થવાનું ગંભીર જોખમ રહેલું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગ છે વહેલી તકે ઉખડી ગયેલો ડામર દૂર કરી ઉચ્ચ ગુણવત્તાનું રિપેરીંગ કામ હાથ ધરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય. એક વર્ષ પહેલા અમલસાડ બ્રિજ બન્યો હતો 15 ડિસેમ્બર 2024ના રોજ લોકાર્પણ કરાયેલા આ બ્રિજના ઉતરતા છેડે ત્રણ રસ્તાઓ ભેગા થાય છે. અહીં વાહનોનું ભારણ વધુ રહેતું હોવાથી બ્રેકનો ઉપયોગ પણ વધુ થાય છે. જોકે, સ્થાનિક જાણકારોના મતે આટલા ટૂંકા ગાળામાં રોડ તૂટવા પાછળ હલકી ગુણવત્તાનું મટિરિયલ કારણભૂત હોઈ શકે છે. ટેકનોલોજીના જમાનામાં પણ નબળું કામ થયું છે.> અમરભાઈ પટેલ, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:દશેરા ટેકરી વિસ્તારના લોકોને ગંદા પાણીની સમસ્યાથી મળશે મુક્તિ

નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં ગટર લાઇન બાબતે મનપાના કમિશનરને રજૂઆત કરી હતી. ઘણાં સમય બાદ મનપા દ્વારા નવી ગટર લાઇન નાંખવાના કામની શરૂઆત કરી દેતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. નવસારીના પૂર્વ નગર સેવક વિજય રાઠોડે જણાવ્યું કે દશેરા ટેકરી રામજીખત્રી નાળ ઘોડાના તબેલા પાસે ગટર લાઈનનુ ગંદુ પાણી રસ્તા પર વહેતુ હતું. તે બાબતે સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક નગરસેવક સાથે કમિશનરને રજૂઆત કરતા નવી ગટર લાઈનની કામગીરી સ્વયમ બંગલા તરફથી રામજી ખત્રીની નાળા તરફ લઇ જવાનું કામગીરી આવી રહી છે. આ નવી ગટર લાઇન નાંખવામાં આવતા હવે ગટર લાઇન ઉભરાવાની સમસ્યાથી રાહત મળશે. નવસારી મહાપાલિકા દ્વારા હાલમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ગટર લાઇન નંખાઇ રહી છે. છેલ્લા બે વર્ષથી સમસ્યા હતીરામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટર લાઇન ઉભરાતી હતી. જેને લઇ કલેક્ટર સુધી રજૂઆત નગર સેવક સાથે લોકોએ ફરિયાદ કરી હતી પણ કામગીરી થઈ ન હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા પહેલા મનપાએ એક સપ્તાહમાં દબાણ દૂર કર્યું અને નવી ગટર લાઇનથી લોકોને કાયમી નિરાકરણ મળશે. મનપા દ્વારા નવી લાઇન નંખાશેનવસારીના સુબેદાર એવા સયાજીરાવ ગાયકવાડ શાસનમાં જે તે સમયે નવસારી શહેરના લોકો માટે ગટર લાઇન સહિત પાયાની સુવિધા ઉભી કરાઇ હતી પણ હવે વસ્તી વધતા મનપા દ્વારા નવી ગટર લાઇન નંખાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ખેડૂતોમાં રોષ:દહેજ પીસીપીઆઇઆરમાં ગેરકાયદેસર રીતે માટીખનનના વિરોધમાં ખેડૂતોમાં રોષ

ભરૂચ જિલ્લાના દહેજ પીસીપીઆઇઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કલેકટરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવ્યાં અનુસાર મગનલાલ વસાવાના સર્વે નંબર 465 ની તેમની માલિકીની 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. ખોદકામ માટે પીસીપીઆઇઆર ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ચુકાદો:યુવકને કચડનાર ટ્રકની વીમા કંપનીને રૂ.21.80 લાખ ચૂકવવા પાટણ ક્લેમ ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો

પાટણના હારિજ-દંતરવાડા રોડ પર વર્ષ 2022માં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દિનેશજી ઠાકોરનું મોત થયું હતું. પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે મૃતકના વારસદારોને 9 ટકા વ્યાજ સાથે રૂ.21.80 લાખનું વળતર ચૂકવવા ટ્રક ચાલક, માલિક અને ટાટા AIG વીમા કંપનીને આદેશ કર્યો છે. 23 જુલાઈ 2022ના રોજ દિનેશજી ઠાકોર બાઈક પર હારિજ જતા હતા ત્યારે પાછળથી અજાણી ઇકોચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે (GJ-01-JT-6233) તેમને કચડી નાખ્યા હતા, જેમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.પોલીસ તપાસમાં ઈકો કાર ચાલક વિરુદ્ધ ચાર્જશીટ થઈ હોવા છતાં તેની ધરપકડ થઈ ન હતી. અરજદાર પક્ષના એડવોકેટ રાજેશ એમ. સોલંકીએ દલીલ કરી હતી કે જો ટ્રકની સ્પીડ ઓછી હોત તો જીવ બચી શક્યો હોત. કોર્ટે કમ્પોઝિટ નેગ્લિજન્સના સિદ્ધાંતને ગ્રાહ્ય રાખી ઠેરવ્યું કે ઈકો કાર શોધાઈ ન હોવા છતાં, અકસ્માતમાં સામેલ અન્ય પક્ષકાર (ટ્રક) સંપૂર્ણ વળતર ચૂકવવા જવાબદાર છે. આથી અદાલતે કમ્પોઝિટ નેગ્લિજન્સ (સંયુક્ત બેદરકારી) ગણીને અરજદારોને સંપૂર્ણ વળતર મેળવવા હકદાર ઠેરવ્યા છે. ન્યાયાધીશ પી.એચ. શેઠે નોંધ્યું કે 33 વર્ષીય યુવાનના નિધનથી તેની પત્ની, ત્રણ સંતાનો અને વૃદ્ધ માતાએ આજીવિકા ગુમાવી છે. કોર્ટે ભવિષ્યની આવક અને પારિવારિક નિર્ભરતાને ધ્યાને રાખીને આ વળતરની રકમ મંજૂર કરી છે. વળતરની 50 ટકા રકમ પત્નીને, જ્યારે બાકીની રકમ બાળકો અને માતા વચ્ચે વહેંચાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રાજકોટના ખ્રિસ્તી દેવળોને રોશનીનો ઝગમગાટ:નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરી મધરાતે ભગવાન ઈસુના જન્મના કરાયા વધામણા, ખ્રિસ્તી લોકોએ એકબીજાને પાઠવી શુભેચ્છા

• ઈશુ ખ્રિસ્તનો જન્મ ગમાણમાં થયો હોવાથી ચર્ચમાં ખાસ ગમાણ તૈયાર કરવામાં આવ્યું પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતી નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ સહીત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે. નતાશાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે નાતાલની ઉજવણી અમે બધા જ લોકો સાથે મળીને કરી રહ્યા છીએ. 24 તારીખે રાત્રે બધા સાથે મળી ચર્ચની અંદર પ્રાર્થના કરીએ છીએ આ પછી 12 વાગ્યે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાં કરીએ છીએ. આજે કેક અને કોફી સાથે એન્જોય કરીશું બધા જ લોકો આખી રાત સાથે મળીને ઉજવણી કરીશું. આવનાર વર્ષમાં મારી અને બધાની ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ક્રિસમસ જોયફુલ સેલિબ્રેશન છે આપણે ખુશ રહેવાનું અને બીજાને પણ ખુશ રાખવાના, એક બીજાને પ્રેમ આપવો એ છે સાચું ક્રિસમસ. નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે. પ્રભુ ઈશુ મુક્તિ દાતા સમગ્ર માનવ જાતિના છે. પ્રભુ ઈશુના જન્મના વધામણાં થયા ત્યારે ફરિસ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિ દાતાનો જન્મ થયો છે. કોઈ વ્યક્તિ પરિવાર કે સમાજ નહિ પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિ દાતાનો જન્મ થયો છે. જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઇ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપવા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે. બ્રિટિશકાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી જે રાજકોટમાં 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ' તરીકે ઓળખાય છે. 170 વર્ષ જુના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. આજે મધરાતે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ વૃધ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને મેરી ક્રિસમસ કરી શુભેચછાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી. એવું કહેવાય છે કે ઈસુનો જન્મ જેરુસલેમના બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગમાણમાં થયો હતો અને જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા. માટે ખાસ દરેક ચર્ચમાં ચર્ચ ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરવામાં આવે છે અને સાથે ક્રિસમસ ટ્રી પણ જોવા મળે છે જેના થકી સમાજને ઈશુ ક્ષારીસ્ટના જન્મ અને જીવનનો સંદેશ આપવામાં આવે છે. રાજકોટમાં એક-બે નહીં પરંતુ પાંચ ચર્ચ આવેલા છે. મોચીબજાર ખાતે આવેલું 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ' સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવડ રોડ ઉપર આવેલું પ્રેમ મંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ ઉપર પણ ચર્ચ આવેલું છે. ઉલ્લેખનીય છે કે 1854ના સમયમાં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઇ હતી. ત્યારબાદ સમયાંતરે વિશાળ જગ્યામાં સ્થાપના થઇ.1985માં આ ચર્ચનું ફરી નવીનીકરણ કરી દિવ્ય બનાવવામાં આવ્યું. 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ'માં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ અહીં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:44 am

એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું:ના.મામલતદારનો ED સમક્ષ ધડાકો, કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ સામેલ, કમિશન અને દલાલો નામ લખેલા કાગળો મળ્યા

1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR સૂત્રોએ માહિતી આપી ને ઈડી ત્રાટકીઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયા પર જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે, જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પૂરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે, ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે. જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, ક્યા પ્રકારની અરજી છે તે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણઆ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે તેની પણ નોંધ કરવામાં આવી છે. જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે. ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ખુલાસો થયો છે કે, વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢીયે 5 વાગ્યે‎ EDએ રૂ. 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. 5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટરસમગ્ર તપાસનું ‎એપી સેન્ટર આ 5 જણાંનું નિવાસસ્થાન હતું.‎ કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે 1500‎ કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીના ‎આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની ‎‎પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:05 am

જૂનાગઢમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન,:'જે ડી જ્વેલર્સ' પર GST ત્રાટક્યું: જૂનાગઢમાં સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત; સોના-ચાંદીના આસમાની ભાવ વચ્ચે વેપારી આલમમાં મચ્યો ખળભળાટ

જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા 'જે ડી જ્વેલર્સ' ખાતે જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, જેમાં આજે પણ ત્રણ કલાકથી વધુ સમય સુધી અધિકારીઓએ હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી. એક તરફ બજારમાં સોના અને ચાંદીના ભાવ પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યા છે અને કિંમતો આસમાને પહોંચી છે, ત્યારે બીજી તરફ ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતા જોવા મળી રહી છે. દરોડા દરમિયાન સ્ટોક રજિસ્ટર, ખરીદ-વેચાણના બિલ અને કિંમતી ધાતુઓના સ્ટોકની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડી જ્વેલર્સમાં હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન શંકાસ્પદ વ્યવહારો અને ટેક્સની વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હજુ પણ તપાસ ચાલુ હોવાથી અંતિમ આંકડો કામગીરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે. જૂનાગઢમાં થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અન્ય મોટા જ્વેલર્સ પણ સાવધ થઈ ગયા છે. વિભાગ દ્વારા આગામી સમયમાં અન્ય પેઢીઓ પર પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:32 pm

હર્ષ સંઘવીનો કડક સંદેશ 'ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો':ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમએ પોલીસને કહ્યું- નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેન તોડો

ગાંધીનગરમાં યોજાયેલી બે દિવસીય ઐતિહાસિક ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો કે, ડ્રગ્સ સામે કોઈ અભિયાન નહીં પરંતુ પૂર્ણ જંગ લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ડ્રગ માફિયાના પગ ધ્રુજવા જોઈએ અને જો એ ન ધ્રુજે તો કાયદાની કડક કાર્યવાહીથી ધ્રુજાવા જોઈએ. ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ કોઈપણ બાંધછોડ નહીં કરે તેવું ગૌરવપૂર્વક જણાવતાં તેમણે 2022ની સરખામણીએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું પણ કહ્યું અને સમગ્ર પોલીસ દળને અભિનંદન પાઠવ્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ક્રાઈમ કોન્ફરન્સ માત્ર આંકડાઓ માટે નહીં પરંતુ સમસ્યાઓના વાસ્તવિક નિરાકરણ માટે યોજાઈ છે. તમામ પોલીસ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નાગરિકોને વધુ મદદરૂપ થવા માટે ટેકનોલોજી આધારિત પ્રેઝન્ટેશન મારફતે અનેક મહત્વપૂર્ણ માહિતી રજૂ થઈ. કેટલાક અધિકારીઓ તેમના જિલ્લાના કામકાજને વધુ મજબૂત બનાવવા નવી પહેલ કરી રહ્યા છે, જે આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે. PI, PSI અને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને ખુલ્લા મનથી સાંભળવાપોલીસમાં ટીમવર્ક અને નેતૃત્વ પર ભાર મૂકતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સિનિયર અધિકારીઓ પાસેથી જુનિયર શીખે એવી પરંપરા સાથે ટેકનોલોજી જોડાય તે સરાહનીય છે. SP કક્ષાના અધિકારીઓએ મિટિંગ દરમિયાન PI, PSI અને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને ખુલ્લા મનથી સાંભળવા જોઈએ. રેન્કના આધારે નહીં પરંતુ કામના આધારે દરેકની વાત સાંભળવી જરૂરી છે. ટીમ લીડર મજબૂત હોવો જોઈએ અને જુનિયર સ્ટાફની ભૂલોને સુધારીને તેમને આગળ વધારવા જોઈએ, રોજ ભૂલો શોધવી નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક અધિકારીઓ આખો દિવસ ઓફિસમાં ન હોવા છતાં પોતાના જિલ્લામાં શું ચાલી રહ્યું છે તેની સચોટ માહિતી ધરાવે છે, જે સારા નેતૃત્વનું ઉદાહરણ છે. આવનારા અઠવાડિયામાં VC મારફતે બે દિવસીય શિબિરના મંતવ્યો રજૂ કરવામાં આવશે, જેથી ફરિયાદો પર ગંભીરતા વધે અને પોલીસ વધુ પ્રજા સાથે જોડાય. DGP તરીકે કરેલા પ્રયાસોથી અનેક સકારાત્મક બદલાવ આવ્યારાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ઐતિહાસિક રહી છે. તમામ વિષયો પર સર્વગ્રાહી પ્રેઝન્ટેશન થયા અને અધિકારીઓની સાચી મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી. તેમણે DGP તરીકે કરેલા પ્રયાસોથી અનેક સકારાત્મક બદલાવ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમે માત્ર એક અઠવાડિયામાં 21 કેસ ઉકેલ્યા તે સફળતા તરીકે રજૂ કરવામાં આવ્યા. 2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયતATSના પ્રેઝન્ટેશનમાં જોવા મળેલી નાની-મોટી ખામીઓને દૂર કરવા અંગે હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી અને નાગરિકોના હિતમાં બદલાવ લાવવા ખાસ કમિટી બનાવવાની જાહેરાત કરી, જે સિનિયોરિટીના આધારે નહીં બને. કોન્ફરન્સના અંતિમ દિવસે વર્ષ 2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. ડ્રગ્સ સામે ગુજરાત પોલીસ અડગ રીતે લડત આપશેસમગ્ર કોન્ફરન્સમાંથી સ્પષ્ટ સંદેશ મળ્યો કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, મજબૂત ટીમવર્ક અને કડક કાર્યવાહીથી જિલ્લા પોલીસ કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકે છે અને ડ્રગ્સ જેવી ગંભીર સમસ્યાઓ સામે ગુજરાત પોલીસ અડગ રીતે લડત આપશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:27 pm

31st પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ અને SOGનું મેગા ઓપરેશન:પોલીસે 21 કેસમાં 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી પાડ્યા, 1 કરોડથી વધુનો ગાંજા-ડ્રગ્સ સહિતનો જથ્થો જપ્ત

31st ડિસેમ્બર આવી રહી છે ત્યારે હવે અમદાવાદમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે એક અઠવાડિયામાં ડ્રગ્સ, ગાંજો અને ચરસના કુલ 21 કેસ કરી 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી લીધા છે. જ્યારે તેમની પાસેથી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જોકે, આ તમામ પેડલરોને ઝડપી લેવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવી દીધો છે. 1 કરોડના મુદ્દામાલ સાથે 25 પેડલરો-સપ્લાયરો ઝડપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે ડીસીપી ક્રાઈમ અજીત રાજીયાન અને ડીસીપી SOG રાહુલ ત્રિપાઠીને શહેરમાં ડ્રગ્સ પેડલરો પર વોચ રાખી ડ્રગ્સના વેપારને અટકાવવા માટે કવાયત શરૂ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે તમામ સ્ક્વોડ કામે લાગી ગયા હતા અને માત્ર અઠવાડિયામાં જ ડ્રગ્સ સપ્લાયરો અને પેડલરોની જુદી જુદી સિન્ડિકેટ પર વોચ રાખીને પોલીસે 21 કેસ કરી એક કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી લીધા છે. પાનમસાલાની પડીકીઓની જેમ નશીલા પદાર્થોનું વેચાણઆ કવાયત દરમિયાન હવે પાનના ગલ્લા પર જેમ પાનમસાલાની પડીકીઓ મળતી હોય તેમ ડ્રગ્સ, હાઈબ્રિડ ગાંજો અને ચરસ જેવા નશીલા પદાર્થો સરળતાથી મળતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની કવાયતથી પેડલરો સ્તબ્ધ થઈ ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે, આ કડકાઈ ક્યાં સુધી ટકી રહે છે. એજન્સીઓની નાર્કો ફાઈનાન્સ અને નાર્કો ટેરરિઝમ અંતર્ગત તપાસક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ આ કવાયત માત્ર નશાનો કારોબાર અટકાવવા કે નશીલા પદાર્થો જપ્ત કરવા સુધી મર્યાદિત રાખવામાં આવી નથી. આ કવાયત હેઠળ એજન્સીઓ દ્વારા નાર્કો ફાઈનાન્સ અને નાર્કો ટેરરિઝમ અંતર્ગત પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ ડ્રગ્સના વેચાણથી પ્રાપ્ત થતી રકમની મની ટ્રેલ શોધી રહી છે, જેથી આ ગેરકાયદે નફાને ક્યાં અને કેવી રીતે લોન્ડરિંગ કરવામાં આવે છે તે બહાર લાવી શકાય. અમદાવાદના પેડલરોને ખાસ કરી રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાયગુનાહિત સિન્ડિકેટની આર્થિક કરોડરજ્જુ તોડવાનો આ પ્રયાસ છે, જેથી ભવિષ્યમાં આ નેટવર્ક ફરીથી સક્રિય ન થઈ શકે. આ પ્રકરણમાં જે પણ હવાલા મળ્યા છે તેમાં અમદાવાદના પેડલરોને ખાસ કરીને રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાની માહિતી મળી છે, જેને પગલે આ કવાયતની તપાસ દેશભરમાં વિસ્તારી દેવામાં આવી છે. મોટા સપ્લાયરોથી માંડીને છુટક ડ્રગ્સ વેચતા પેડલરો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે યુવાનોને પણ આ દુષણથી દૂર રહેવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે. પેડલરો-સપ્લાયરોને ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર નીકળવા હાકલક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરોને ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર નીકળવા માટે હાકલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “જે લોકો વ્યસનમાંથી બહાર આવવા માગે છે તેમના માટે કાયદો અને તંત્ર મદદરૂપ બનશે.” આ અભિગમ હેઠળ સાચા વ્યસનીઓને જેલને બદલે પુનઃવસન અને નવું જીવન શરૂ કરવાની તક આપવામાં આવશે. PI અથવા PSIના નેતૃત્વ હેઠળ નાર્કો સ્ક્વોડ બનાવાયુંપોલીસ કમિશનરની સૂચનાથી દરેક પોલીસ મથકમાં સેકન્ડ PI અથવા PSIના નેતૃત્વ હેઠળ નાર્કો સ્ક્વોડ બનાવવામાં આવ્યું છે. જેની કામગીરી માત્ર નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવાની અને પેડલરો-સપ્લાયરોને ઝડપી લેવાની છે. કમનસીબે, શહેરના તમામ પોલીસ મથકોમાં રચાયેલા આ સ્ક્વોડ દ્વારા હજુ સુધી કોઈ મોટું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:14 pm

અનંત અંબાણીએ સોમનાથ મંદિરને 5 કરોડનું દાન આપ્યું:યાત્રાળુ સુવિધાઓ માટે દાન, મહાપૂજા અને જલાભિષેક કર્યો

દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ભાવપૂર્વક દર્શનાર્થે સોમનાથ તીર્થમાં પધાર્યા હતા. તેમણે આશુતોષ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવી ભક્તિભાવ સાથે મહાપૂજા અને જલાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન સોમનાથનો જલાભિષેક કરી પૂજન સામગ્રી અર્પણ કરી, તેમણે રાષ્ટ્રની ઉન્નતિ, લોકકલ્યાણ અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. મુખ્ય મંદિરના દર્શન બાદ અનંત અંબાણી સમુદ્ર કિનારે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૂર્યનારાયણના દર્શન કરી પ્રકૃતિની દિવ્ય શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેઓ શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે જઈ વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ લીધા હતા. આ પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા તેમને સ્મૃતિચિહ્નરૂપે શ્રી સોમનાથ મહાદેવનું ચિત્ર તથા પવિત્ર પ્રસાદ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ આ અવસરે શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ₹5 કરોડનું શિવાર્પણ કર્યું હતું. આ દાનનો ઉપયોગ સોમનાથ તીર્થ ખાતે યાત્રાળુઓ માટેની આધુનિક સુવિધાઓ, વિકાસલક્ષી પ્રકલ્પો તથા તીર્થના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. આ શિવાર્પણ સોમનાથ તીર્થના સતત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:00 pm

વેરાવળમાં દુકાન બહાર ગંદકી રાખતા 60 દુકાનદારોને દંડ ફટકારાયો:નગરપાલિકાની વિશેષ સ્વચ્છતા ડ્રાઈવમાં રૂ.3,800 વસૂલાયા

વેરાવળ–સોમનાથ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા હેતુસર વેરાવળ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન દુકાન બહાર ગંદકી રાખતા અને સ્વચ્છતા ન જાળવતા 60 જેટલા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં ફરતી તપાસ દરમિયાન કુલ રૂ. 3,800 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે સાથે વેપારીઓને ભવિષ્યમાં પોતાની દુકાનના આંગણે સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે શહેરી વિસ્તારમાં આવેલી મુખ્ય તથા અન્ય બજારોમાં ખાસ સ્વચ્છતા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સેનેટેશન શાખાના કશ્યપ સામાણી, બાબુભાઈ સહિતના સ્ટાફ દ્વારા સુભાષ રોડ, સટ્ટા બજાર, એમ.જી. રોડ, 80 ફૂટ રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાન બહાર ગંદકી જોવા મળેલી હોય અથવા સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવતા વેપારીઓ સામે દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ ચાલેલી આ કાર્યવાહીમાં 60 વેપારીઓ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોની પણ તપાસ કરવામાં આવી હતી અને લોકોને પ્લાસ્ટિક મુક્ત શહેર માટે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:58 pm

બોટાદમાં બે મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટ ગેરહાજર:ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં નોટિસ ફટકારી કાર્યવાહી

બોટાદ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૨૦ થી ૨૨ મેડિકલ સ્ટોર્સમાંથી બે સ્ટોર પર ફાર્માસિસ્ટ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. આ બે મેડિકલ સ્ટોર્સને નોટિસ ફટકારીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની ટીમે શહેરના હિરા બજાર, પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, હવેલી ચોક, ટાવર રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન, બે મેડિકલ સ્ટોર પર ફરજિયાત ફાર્માસિસ્ટ હાજર ન હોવાનું જણાયું હતું, જે નિયમોનું ઉલ્લંઘન છે. આ ગેરરીતિ બદલ ડ્રગ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ વિભાગના અધિકારી ઘનશ્યામભાઈ ઠુમરે કેમેરા સામે માહિતી આપવાનું ટાળ્યું હતું, પરંતુ ટેલિફોનિક વાતચીતમાં તેમણે આ અંગેની વિગતો પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:55 pm

બોટાદમાં મહિલા પર છરી હુમલાનો મામલો:પોલીસે આરોપી સાથે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરી ઉઠક-બેઠક કરાવી, ભૂતકાળમાં 18 ગુના દાખલ

બોટાદ પોલીસે બે દિવસ પહેલા મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી મહેશ વાટુકિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપી મહેશ વાટુકિયાને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી વિસ્તારના લોકોની માફી મંગાવી હતી, જેથી તેને કાયદાનું ભાન થાય. પોલીસે આરોપીના ઘરની પણ જડતી કરી હતી અને અન્ય ગુનાઓની તપાસ હાથ ધરી હતી. બોટાદ DYSP મહર્ષિ રાવલે માહિતી આપતા જણાવ્યું કે, આરોપી મહેશ વાટુકિયા દારૂનો વેપાર કરતો હતો અને વિસ્તારમાં લોકોને હેરાન કરતો હતો. સોનલબેન નામની મહિલાએ તેની સામે પોલીસમાં અરજી કરી હતી, જેની અદાવત રાખીને મહેશે બે દિવસ પહેલા મોચીપરા વિસ્તારમાં સોનલબેનના ઘરે આવી ઝપાઝપી કરી છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સોનલબેન અને તેમના પુત્રને ઇજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ વાટુકિયા વિરુદ્ધ ભૂતકાળમાં ૧૮ જેટલા ગુના દાખલ થયેલા છે. તે અગાઉ ત્રણ મહિના માટે હદપાર પણ કરાયો હતો, પરંતુ હદપારીનો ભંગ કરીને પાછો આવી તેણે આ ગુનો આચર્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:53 pm

પશુ પકડવા ગયેલી પાલિકાની ટીમ સામે પશુપાલકોની દાદાગીરી:15થી વધુ ગાયો બળજબરીથી છોડાવી, કર્મચારીઓને અપશબ્દો બોલી હુમલો પણ કર્યો

પાટણ શહેરમાં રખડતા પશુઓને પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કરી દાદાગીરી કરી છે. પશુપાલકોના ટોળાએ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પકડવામાં આવેલી 15થી વધુ ગાયોને બળજબરીપૂર્વક છોડાવી દીધી હતી. આ ઘટનામાં પશુપાલકોએ સરકારી કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી ગાળાગાળી પણ કરી હોવાનું સામે આવ્યું છે. પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગે શહેરના માર્ગો પરથી રખડતા પશુઓને પકડવા ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત, પાલિકાની ટીમે પારેવા સર્કલ નજીક નગરપાલિકાની જગ્યામાં 15થી વધુ ગાયોને પકડીને રાખી હતી. ગાયો પકડાઈ હોવાની જાણ થતાં જ પશુપાલકોનું એક ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. તેમણે ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે રકઝક શરૂ કરી હતી. પશુપાલકોએ ઉશ્કેરાઈને સરકારી કર્મચારીઓને ધમકાવી અને ગાળાગાળી કરી ડબ્બામાં પૂરેલા પશુઓને બળજબરીથી છોડાવી દીધા હતા. એકસાથે મોટી સંખ્યામાં ગાયોને છોડાવવામાં આવતા, તમામ પશુઓ રસ્તા પર આડેધડ દોડવા લાગ્યા હતા. આના કારણે પારેવા સર્કલ અને આસપાસના વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર અને કર્મચારીઓ પર દાદાગીરી કરનાર પશુપાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:46 pm

RMCને પ્રવાસન વિભાગે પત્ર લખી રેસકોર્સમાં જગ્યાની માંગ કરી:વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખી 10મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ યોજવા થઇ રહી છે તૈયારી

તા.10 જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સ મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવા તૈયારીઓ શરૂ કરી છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે રાખી ધર્મેન્દ્ર સિંહજી કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજતું હોય છે પરંતુ આ વખતે વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષી પ્રવાસન વિભાગ એકલું આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ માટે પ્રવાસન વિભાગે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખીને રેસકોર્સ મેદાનમાં જગ્યા ફાળવણી માટે માગણી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયા ખાતે યોજાતા આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ જેવો જાજરમાન કાઇટ ફેસ્ટિવલ રાજકોટમાં યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દેશ વિદેશના મહાનુભાવો અને પતંગબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અશાંતધારા અંગે ધારાસભ્યો વિસ્તારવાસીઓ સાથે મળી કલેક્ટરને કરી રજુઆત રાજકોટ શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી વિસ્તરમાં લાગુ થયેલા અશાંતધારા અંગે મુદત વધારવા તેમજ કેટલાક નવા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ સાંજના સમયે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તેમના વિસ્તારના લોકોને સાથે રાખી કલેકટર ઓમ પ્રકાશને રૂબરૂ રજુઆત કરવા પહોંચ્યા હતા આ સમયે અશાંતધારાની મુદતમાં વધારો કરવા, કેટલાક નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા અને જ્યાં લાગુ ત્યાં કડક અમલવારી કરાવવા સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને ધારાસભ્યો દ્વારા લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ મામલે તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવી ચર્ચા કરવામાં આવી હતી જો કે આજ રોજ ધારાસભ્યો દ્વારા વિસ્તારના 300થી વધુ લોકોને સાથે રાખી રજુઆત કરવામાં આવી હતી. એરપોર્ટથી મારવાડી યુનિવર્સીટી રૂટ પર 200થી વધુ દબાણો દૂર કરાયા રાજકોટમાં આગામી 10થી 12 જાન્‍યુઆરી દરમિયાન યોજાનારી ‘સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રિજનલ વાઇબ્રન્‍ટ સમિટ'ને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવ્‍યું છે. આ સમિટનું ઉદ્ધાટન 10મી જાન્‍યુઆરીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ વચ્‍ચે રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (હીરાસર)થી લઈ મારવાડી કોલેજ સુધીના માર્ગ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્‍યું છે. છેલ્લા બે દિવસથી નેશનલ હાઇવે ઓથોરિટી અને તાલુકા મામલતદારની ટીમ દ્વારા હીરાસર એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના રૂટ પર ગેરકાયદે છાપરાઓ અને દુકાનોના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ફૂટપાથ પર નડતરરૂપ નાના-મોટા મંદિરો અને અન્‍ય બાંધકામો દૂર કરી છેલ્લા બે દિવસમાં જ 200થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્‍યા છે. રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ સમગ્ર કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આગામી એક સપ્તાહમાં રોડ અને ફૂટપાથના સમારકામ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:31 pm

પોલીસે ખેતમજૂરના રૂ. 92,700 રોકડ ભરેલું બેગ શોધી કાઢ્યું:નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી ગણતરીના કલાકોમાં પરત મળ્યું

નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્થાનિક પોલીસે એક ખેતમજૂરનું રૂ. 92,700 રોકડ અને કપડાં ભરેલું ખોવાયેલું બેગ ગણતરીના કલાકોમાં શોધી પરત કર્યું છે. આ ઘટના જામનગરના સાત રસ્તા સર્કલ પાસે બની હતી. મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના અને હાલ ખંભાળિયામાં ખેતમજૂરી કરતા કમલેશ રામશી શીંગળ 24 ડિસેમ્બર, 2025ના રોજ પોતાના વતન જવા માટે જામખંભાળિયાથી જામનગર આવ્યા હતા. તેઓ ઇકો ગાડીમાંથી સાત રસ્તા સર્કલ ખાતે ઉતરતી વખતે બાળકોને નીચે ઉતારતી વખતે લાલ રંગનું બેગ ભૂલી ગયા હતા, જેમાં રોકડ રૂ. 92,700 અને કપડાં હતા. સાત રસ્તા સર્કલ ખાતે હાજર ટ્રાફિક પો.સબ.ઇન્સ. આર.એમ. કંડોરીયાએ અરજદારને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મોકલ્યા હતા. PSI બી.બી.સિંગલના માર્ગદર્શન હેઠળ ASI પી.એ.ખાણધર, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા, પો.કોન્સ સંજયભાઈ જોડ, રીનાબા ગોહિલ અને એન્જિનિયર પ્રીતેશ વરણ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી. ટીમે સંતોષીમાતા મંદિર અને ક્રિસ્ટલ મોલ લોકેશનના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં બેગ જે ઇકો ગાડીમાં ભૂલાયું હતું તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-10-BR-4130 હોવાનું જણાયું. RTO ડેટા પરથી ગાડી માલિકનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરવામાં આવ્યો. ઇકો ગાડીના ચાલકે જણાવ્યું કે તે પેસેન્જરના ફેરા કરે છે અને હાલ ખાવડી ખાતે પહોંચ્યો છે. પોલીસે તેને મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી PSO જયરાજસિંહ ઝાલા પાસે બેગ જમા કરાવવા જણાવ્યું. મેઘપર-પડાણા પોલીસે બેગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સમયસર પહોંચાડ્યું. અરજદાર કમલેશભાઈએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પોતાના કપડાં અને રોકડ રૂ. 92,700ની જાતે ખરાઈ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં તેમનું ખોવાયેલું બેગ શોધી પરત અપાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:30 pm

ફિનાલેમાં 32 હજાર ચાહકો ઉમટ્યા:વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર આયોજિત ISRL સિઝન 2 ફિનાલેમાં બિગરૉક મોટરસ્પોર્ટ્સે ચેમ્પિયનશિપ ટાઇટલ જાળવી રાખ્યું, બોલિવૂડ એક્ટર સલમાનખાન હાજર રહ્યો

વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર વીર પટેલ આયોજિત ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સિઝન 2નું કાલિકટના ઈએમએસ કોર્પોરેશન સ્ટેડિયમ ખાતે ઐતિહાસિક ગ્રાન્ડ ફિનાલે સાથે સમાપન થયું હતું. મેગાસ્ટાર અને આઈએસઆરએલના બ્રાન્ડ એમ્બેસડર સલમાન ખાન આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. ફિનાલેમાં 32,000થી વધુ ચાહકો ઊમટી પડ્યા હતા. ઉત્સાહી ચાહકો અને ટ્રેક પરની રોમાંચક રમત વચ્ચે ટીમ બિગરૉક મોટરસ્પોર્ટ્સે આઈએસઆરએલ સિઝન 2ની ચેમ્પિયનશિપ જીતી છે. આ સાથે પુણે, હૈદરાબાદ અને કાલિકટમાં યોજાયેલી ચેમ્પિયનશિપન પૂર્ણ થઈ છે. કાલિકટ રાઉન્ડમાં બધી જ કેટેગરીઝમાં રોમાંચક રેસિંગ જોવા મળી હતી. ટીમ બિગરૉક મોટરસ્પોર્ટ્સ (ઓસ્ટ્રેલિયા)ના મેટ મોસે કાવાસાકી KX 450 પર 450સીસી ઇન્ટરનેશનલ ક્લાસમાં વિજય મેળવ્યો હતો, જ્યારે ટીમ અપોલો ઇન્ડવ્હીલર્સ (ફ્રાન્સ)ના કેલ્વિન ફોનવિલે યામાહા YZ 250 પર 250 સીસી ઇન્ટરનેશનલ ક્લાસમાં પ્રભુત્વ મેળવ્યું હતું. રાઇડર ડેલ્વિનેટર અલ્ફારિઝી (થાઇલેન્ડ) એ KTM 250 SX - F પર રાઇડ કરીને 250સીસી ઈન્ડિયા-એશિયા મિક્સ ક્લાસની સ્પર્ધા જીતી હતી.આઈએસઆરએલના બ્રાન્ડ એમ્બેસેડર, મેગાસ્ટાર સલમાન ખાને જણાવ્યું હતું કે, કાલિકટમાં ગ્રાન્ડ ફિનાલે નિહાળવી ખરેખર વિશેષ અનુભવ હતો. ચાહકોનો જુસ્સો અને સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે કે ભારતીય મોટરસ્પોર્ટ કેટલી આગળ વધી ગઈ છે. આઈએસઆરએલ એક એવું પ્લેટફોર્મ બનાવી રહી છે જ્યાં ભારતીય રાઇડર્સ વિશ્વના શ્રેષ્ઠ રાઇડર્સ સાથે આત્મવિશ્વાસથી સ્પર્ધા કરી શકે છે.સિઝન અંગે મૂળ વડોદરાના અને આઈએસઆરએલ અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે “સિઝન 2 સમગ્ર ભારતમાં સુપરક્રોસમાં વધતી જતી માન્યતા દર્શાવે છે. પુણેથી હૈદરાબાદ અને હવે કાલિકટ સુધી, વિક્રમજનક સંખ્યામાં ચાહકોનો પ્રતિસાદ દર્શાવે છે કે રમતને ખરેખર અહીં ખૂબ પસંદ કરવામાં આવી છે. અમે વિશ્વ-સ્તરીય રેસિંગની સાથે ભારતીય રાઇડર્સ માટે મજબૂત માર્ગો બનાવી રહ્યા છીએ.”

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:28 pm

સુરત ગ્રામ્ય પોલીસે રાજકોટ લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપ્યો:31st પહેલા તમિલનાડુ પાસિંગ કન્ટેનરમાં પંજાબથી રાજકોટ લઈ જવાતો જથ્થો પકડાયો

સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે નાંદીડા ગામની સીમમાં નેશનલ હાઈવે 53 પરથી 45.57 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ, LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને બાતમી મળી હતી કે નવાપુર તરફથી એક અશોક લેલન કન્ટેનર (નંબર TN-39-CA-8512) વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી પલસાણા તરફ જઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે નાંદીડા ગામ પાસે જાનવી મોટર્સની સામે નાકાબંધી કરી હતી. કન્ટેનરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 5448 બોટલો મળી આવી હતી. આ દારૂ ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કન્ટેનર ચાલક સરવનકુમાર શનમુગમ (રહે. તમિલનાડુ)ની ધરપકડ કરી છે. પોલીસે કુલ 60.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 45,57,600 રૂપિયાનો વિદેશી દારૂ, 15 લાખ રૂપિયાનું અશોક લેલન કન્ટેનર, મોબાઈલ અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબના લુધિયાણાથી ચિતા રામા ટ્રાન્સપોર્ટ દ્વારા ભરાવવામાં આવ્યો હતો. તમિલનાડુના તમીલારાસન નાગરાજને આ ટ્રાન્સપોર્ટ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. આ જથ્થો રાજકોટ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે હાલમાં લુધિયાણાના ટ્રાન્સપોર્ટર, સંપર્ક કરાવનાર વ્યક્તિ અને રાજકોટના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી LCB ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયા અને PSI જે.એલ. પટેલની ટીમે પાર પાડી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:16 pm

પતંગના દોરા અંગેની પીઆઇએલમાં સરકારના અને હાઈકોર્ટના થયેલ હુકમો:કોટનના માંજાના કુલ વજનના 0.5% થી વધુ ન હોવું જોઈએ, પ્રતિબંધિત માલ વેચાતો હોય તો પોલીસને ફરિયાદ કરો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી ખાતે દરોડા પાડીને ચાઇનીઝ દોરી બનાવતી ફેકટરી ઝડપી લીધી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના મેમ્કો બ્રીજ પરથી ટુ વ્હીલર લઇને પસાર થતાં યુવકના ગળામાં પતંગની દોરી આવવાના કારણે તેના ગળામાં 20 ટાંકા આવ્યા હતા. જો કે એક પોલીસ કોન્સ્ટેબલે તેને તાત્કાલિક પોતાના વાહન પર બેસાડી હોસ્પિટલ લઇ ગયો હતો. આમ ઉત્તરાયણ પૂર્વે જ ચાયનીઝ દોરીની ફેકટરી અને આ દોરીના કારણે ગળામાં ઇજા થવાનો કિસ્સો બની ગયો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આવી જ ઘટનાઓને ધ્યાનમાં લઇને ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય અને અહીંસા મહાસંઘ, એનિમલ વેલફેર ફાઉન્ડેશન, ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચે એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફતે હાઇકોર્ટમાં જાહેર હીતની રીટ અરજી કરી હતી. આ અરજીમાં સરકાર તરફથી કયા કયા પગલાં ભરવામાં આવનાર છે તે અંગેનું સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેને હાઇકોર્ટે રેકર્ડ પર નોંધીને હવે પછીની વધુ સુનાવણી 9મી જાન્યુઆરી- 2026 ના રોજ મુકરર કરી છે. આ મેટરની સુનાવણી દરમિયાન કોર્ટની ટકોર હતી કે સામાન્ય નાગરિક પણ જો આ પરિપત્રો અને સૂચનાઓ વિરુદ્ધમાં પ્રતિબંધિત માલ વેચતો હોય તો પોલીસને ફરિયાદ કરી શકે છે. ચાઇનીઝ માઝા, પ્લાસ્ટિક દોરી, નાયલૉન દોરી, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોસામાજિક સંસ્થા તરફથી કરાયેલી જાહેર હિતની રીટ અરજીમાં હાઇકોર્ટે 19 ડિસેમ્બર, 2025ના રોજ ગૃહ વિભાગના મુખ્ય સચિવ નિપુણા તોરવણેના 27 નવેમ્બર, 2025 અને 12 ડિસેમ્બર 2025ના રોજના સોગંદનામાની નોંધ લીધેલ. અગાઉ 19 સપ્ટેમ્બર 2025ના રોજ ગૃહ વિભાગના સચિવ શ્રધ્ધા પરમારે સોગંદનામું કરેલ. જેમાં 06 સપ્ટેમ્બર 2025ના રોજની પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર એ તૈયાર કરેલ ઉત્તરાયણ અંગેની ડ્રાફ્ટ પ્લાન પોલિસી રજૂ કરેલ. જે મુજબ તુક્કલ, ચાઇનીઝ માઝા, પ્લાસ્ટિક દોરી, નાયલૉન દોરી, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલ દોરીનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતા ઇસમો વિરુદ્ધ પ્રતિબંધ મૂકવા માટે સરકાર દ્વારા તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને ડિસેમ્બરમાં જાહેરનામું બહાર પાડવા અને તેને બહોળી પ્રસિદ્ધિ આપવાના પ્રયત્નો કરવા સૂચના આપવામાં આવશે. શંકાસ્પદ સ્થળોએ છાપા મારવા અને ગુનો નોંધવા રાજ્યના પોલીસને સૂચનાઉપરાંત જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ અધિકારી/કર્મચારીને ફરિયાદી બનવા સારું સત્તા આપવામાં આવશે. ઉપરાંત તે અંગે જનજાગૃતિ ઊભી કરવા પ્રયાસો કરવામાં આવશે અને પ્રતિબંધિત દોરાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ અંગે સ્થાનિક કક્ષાએ ગુપ્ત માહિતી મેળવી શંકાસ્પદ સ્થળોએ છાપા મારવા અને ગુનો નોંધવા રાજ્યના પોલીસ કમિશ્નરઓને તથા પોલીસ અધિક્ષકઓને જણાવવામાં આવશે. તેમ જ ઓનલાઈન પ્લેટફોર્મ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમ ખાતે ઉત્તરાયણ હેલ્પ ડેસ્ક કાર્યરત કરી દેખરેખ કરાશેઆવા ગુનાઓની તપાસ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન ક્યાં કરવામાં આવેલ, તેનો પુરવઠો કોણે અને ક્યાંથી કરેલ, આ સમગ્ર supply chain સાથે સંકળાયેલા ઇસમોના આઇડેન્ટિટી અને રોલ બાબતે આરોપીઓની પૂછપરછ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. પ્રતિબંધિત દોરા રાજ્ય બહારથી અને દેશ બહારથી આયાત ન થાય તે માટે પાડોશી રાજ્યો સાથે બોર્ડરના પોલીસ અધિક્ષકઓએ કડકાઈથી કાર્યવાહી કરવાની રહેશે. ઉપરાંત સીટી/ડિસ્ટ્રિક્ટ પોલીસ કંટ્રોલરૂમ ખાતે ઉત્તરાયણ હેલ્પ ડેસ્ક કાર્યરત કરી, પોલીસ અધિકારીઓને 24x7 બેસિસ ઉપર તેનાત કરી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે જાગૃત નાગરિકો દ્વારા 112 ઉપર મળતી ફરિયાદો/ઇનપુટ્સ ને અલગ રજીસ્ટરમાં નોંધી, સંબંધિત પોલીસ સ્ટેશન/Field teams/PCR Van મારફતે કાર્યવાહી કરવા અને જે તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકે રોજે-રોજ રજીસ્ટરની ચકાસણી કરવા અને પોલીસ કાર્યવાહીની સમીક્ષા કરવા આયોજન કરવાનું રહેશે. આ તમામ સૂચનાઓ અંગે કરેલ કાર્યવાહીનું યોગ્ય ડોક્યુમેન્ટેશન કરવા અંગે કાર્યવાહી કરવાની રહેશે. 17 સપ્ટેમ્બર 2025 ના રોજ ગૃહ વિભાગે માનવ અને પશુ-પક્ષીઓને હાનિ થાય તેવા પ્રતિબંધિત સાધન સામગ્રી બાબત ઉપર મુજબની સૂચનાઓ પરિપત્ર રૂપે જારી કરેલ અને તેની અમલવારી કરાવવા પોલીસ મહાનિર્દેશક, ગુજરાત રાજ્યને સૂચના આપેલ. ત્યારબાદ કોટન દોરીને glass coating કરી વેચાણ કરતાં વેપારીઓએ પોતાને પક્ષકાર તરીકે જોડવા માટે અરજી કરી જણાવેલ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદામાં અમુક ચોક્કસ પ્રકારે બનાવેલ કાચ પાયેલ કોટન દોરીથી માનવોને અને પ્રાણીઓને ઇજા થતી નથી તેવા તારણો દર્શાવી એવી વિનંતી કરેલ કે સરકારની સૂચનાઓમાં ફેરફાર કરવામાં આવે અને કાચ પાયેલી ચોક્કસ પ્રકારની કોટન દોરીઓનો શબ્દ તા. 17 સપ્ટેમ્બર 2025ના રોજના પરિપત્રમાંથી દૂર કરવામાં આવે, જે આધારે હાઇકોર્ટે સરકારને આ પરિપત્રમાં ફેરફાર કરવા હુકમ કરેલ. આ વેપારીઓને પક્ષકાર તરીકે જોડવા હુકમ કરેલ. કોટનના માંજાના કુલ વજનના 0.5% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશેત્યારબાદ 07 નવેમ્બર 2025ના રોજ ગૃહ વિભાગે પોતાના પરિપત્રમાં નીચે મુજબ ફેરફાર કર્યા હતા. જેમાં “સ્પષ્ટીકરણ કર્યું હતું કે “પતંગ ઉડાવવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર 10%થી વધુ ન હોવો જોઈએ, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ 30% મેંદો 36% કુદરતી ગુંદર અને રંગ 24% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો 10% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના 0.5% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશે. 15 આરોપીઓની અટક કરેલઆ પરિપત્ર મુખ્ય ગૃહ સચિવ નિપુણા તોરવણેના 27 નવેમ્બર 2025 ના રોજના સોગંદનામા સાથે રજૂ થયેલ. જેમાં તેમણે જણાવેલ કે પરિપત્રના આધારે 25 જિલ્લાઓ/સીટી કમિશ્નરમાં જાહેરનામા/પરિપત્ર જારી થઈ ગયેલ છે. ઉપરાંત ચાઇનીઝ માઝા, glass coated નાયલૉન/સિન્થેટિક થ્રેડ, પ્લાસ્ટિક થ્રેડના ઉત્પાદન વિગેરે માટે 10 ગુના નોંધાયેલ છે, 4399 સ્થળોએ આવી પ્રતિબંધિત વસ્તુઓ કે જેની કિંમત 14.76 લાખ હતી તે જપ્ત કરેલ છે અને 15 આરોપીઓની અટક કરેલ છે. ઉપરાંત 116 જાહેર પબ્લિક અવેરનેસ મિટિંગો થયેલ છે. તદુપરાંત તા. 12 ડિસેમ્બર 2025ના રોજના સોગંદનામાથી આ જ અધિકારીએ જણાવેલ કે, આવા પ્રતિબંધિત સામાનો કે જેની કિંમત 36.80 લાખ છે તે જપ્ત કર્યા છે, 73 આરોપીઓને અટક કરેલ છે અને 59 પોલીસ ફરિયાદો નોંધેલ છે. જો કે કાચ પાયેલ કોટન માઝાને આમાંથી બાકાત રાખેલ છે. પ્રતિબંધિત માલ વેચતો હોય તો પોલીસને ફરિયાદ કરી શકે છે19 ડિસેમ્બર 2025ના રોજ સદર કેસની સુનાવણી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ડિ. એન. રે સમક્ષ નીકળતા અરજદાર પંકજ બુચના એડવોકેટ નિમિષ એમ. કાપડિયાએ રજૂઆત કરી લેખિત સૂચનો આપેલા કે દરેક પોલીસ સ્ટેશનમાં એક ચોક્કસ ટીમ બનાવવી જોઈએ કે જે હાઇકોર્ટના અને રાજ્ય સરકારના હુકમોનું પાલન કરાવી શકે અને સ્પેશિયલ 24 કલાક માટેની એવી ટેલિફોન હેલ્પલાઈન હોવી જોઈએ કે જે ફોન કરનારની ઓળખનો આગ્રહ ન રાખે. 07 નવેમ્બર 2025ના રોજના પરિપત્ર મુજબના જ કોટન દોરા બજારમાં વેચાય છે કે નહીં તે સરકારે ચકાસણી કરવી જોઈએ. આ અંગે કોર્ટની ટકોર હતી કે સામાન્ય નાગરિક પણ જો આ પરિપત્રો અને સૂચનાઓ વિરુદ્ધમાં પ્રતિબંધિત માલ વેચતો હોય તો પોલીસને ફરિયાદ કરી શકે છે. હવે પછીની વધુ સુનાવણી તા. 09.01.2026 ના રોજ રાખેલ.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:13 pm

સુરેન્દ્રનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:70 ટીમોના 500થી વધુ ખેલાડીઓ સહભાગી થયા

સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અને 'સુશાસન દિવસ' નિમિત્તે સાંસદ ખેલ મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. સાંસદ ચંદુ શિહોરાના માર્ગદર્શન હેઠળ આ દ્વિ-દિવસીય મહોત્સવ 24 અને 25 ડિસેમ્બર દરમિયાન એમ.પી. શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. જિલ્લાભરમાંથી 70થી વધુ ટીમોના 500થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ પોતાની રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. મહોત્સવનો શુભારંભ કરાવતા સાંસદ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા' સંકલ્પને સાકાર કરવા અને યુવાનો રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવે તે હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, 'ફિટ યુથ ફોર વિકસિત ભારત'ના મંત્ર સાથે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાનું સરકારનું લક્ષ્ય છે. સાંસદ શિહોરાએ ગૌરવભેર જણાવ્યું કે, રમતગમત પ્રત્યેની રુચિમાં સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. છેલ્લા પોણા બે મહિનાથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે ચાલી રહેલી સ્પર્ધાત્મક પ્રક્રિયા બાદ આજે જિલ્લા કક્ષાના આ મુખ્ય મહોત્સવમાં શ્રેષ્ઠ ખેલાડીઓ એકત્રિત થયા છે. તેમણે રમતગમત વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા હતા. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે, રમતગમત માત્ર જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેલદિલી અને શિસ્તના ગુણો કેળવે છે. છેવાડાના ગામડાના સામાન્ય પરિવારના બાળકોને પણ પોતાની રમત પ્રદર્શિત કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવું એ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બે દિવસીય આ આયોજનના અંતે શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે રમત ગમત અધિકારી બલવંતસિંહ ચૌહાણ, કોમર્સ કોલેજ આચાર્ય દિલીપભાઈ વાજાણી સહિતના મહાનુભાવો, કોચ, આગેવાનો અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 9:09 pm

વડોદરામાં 3 કાર સળગાવવાના કેસમાં એકની ધરપકડ:બુટલેગરના ગેંગવોરમાં હેરી સિંધીના સાગરીતે અલ્પુ સિંધીના સાગરિતના મિત્રની કાર સળગાવનાર વોન્ટેડ આરોપીને વારસીયા પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં બુટલેગરના ગેંગવોરમાં એક મહિના પહેલા સાંઇબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રીના સમયે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને 3 કારને આગ ચાંપીને નાસી છૂટેલા વોન્ટેડ આરોપીને વારસીયા પોલીસે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વારસીયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આ કેસમાં વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે ગોંધળી અશોકભાઇ પવાર (રહે. સપ્તશ્રુંગી માતાજીના મંદિર પાસે, ઝંડા ચોક, કિશનવાડી રોડ, ગધેડા માર્કેટની બાજુમાં, પાણીગેટ, વડોદરા) કિશનવાડી ઝંડા ચોકમાં આવેલી એક દુકાનની બહાર ઉભો છે. જેથી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે એક મોબાઈલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર બૂટલેગર અલ્યુ સિંધી દ્વારા કરાયેલા હુમલામાં શંકા રાખીને હેરી લુધવાણી અને તેના સાથીદારે અલ્યુ સિંધીના ખાસ માણસ ધર્મેશ ઉર્ફે ગોલુના મિત્ર મનીષ કારડાની થાર કાર સળગાવી દેતા વારસીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાંથાર સાથે અન્ય બે કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. વારસીયા ગણેશનગર સોસાયટીમાં રહેતા મનીષ ઉર્ફે માનવ કારડા (ઉ.વ.21) ની ફરિયાદ અનુસાર, તેની ધર્મેશ ઉર્ફે ગોલુ ઇંદ્રકુમાર સચ્ચદેવ સાથે મિત્રતા છે. પરંતુ ધર્મેશ સચ્ચદેવની અંગત અદાવત હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી સાથે હતી. ધર્મેશ સચ્ચદેવને ગુજસીટોકના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન 3 મહિના પહેલા મનીષ કારડા વારસીયાની તિવારીની ચાલ બાજુથી એક્ટિવા પર રાતે 1 વાગે પસાર થતો હતો. હિમાંશુ અને તેના મિત્રો વિવેક ઉર્ફે બન્ની કેવલાણીએ મનીષને રોકીને તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો. 26 નવેમ્બરની રાતે 11:30 વાગે પોતાની થાર કાર સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરીને ઘરે જઈ સુઈ ગયો હતો. રાતે 2 વાગે સફેદ કારમાં આવેલા હેરી અને વિવેક કેવલાણીએ ફરિયાદીની થાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી ભાગી ગયા હતાં. કાર સળગતી જોઈ પાડોશમાં રહેતા દર્શન ગોહીલે મનીષને જગાળ્યો હતો. મનીષ કારડાની થાર, ઉપરાંત સોસાયટીમાં જ રહેતા કલ્પેશ પરમારની ટ્રીબર કાર, તેમજ મિતેષભાઈ દુધાણીની હુંડાઈ કાર પણ સળગી ગઈ હતી. સોસાયટીના સભ્યોએ ફાયરબ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે મનીષ કારડાએ હિમાંપુ ઉર્ફે હેરી અને વિવેક કેવલાણી વિરૂધ્ધ વારસીયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:56 pm

અઠવા ઝોનમાં 76.89 કરોડના ખર્ચે 5 ઓવરહેડ પાણીની ટાંકીઓ બનશે:સરથાણા નેચર પાર્કનું આધુનિકીકરણ અને શહેરના બે મોટા પ્રકલ્પોનું અટલ બિહારી વાજપેયી નામકરણ માટે દરખાસ્ત

સુરત શહેરના વિસ્તરણ અને વસ્તીના વધતા ભારણને ધ્યાનમાં રાખીને હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણીના નેટવર્કનું આયોજન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માનમાં નવા પ્રોજેક્ટ્સનું નામકરણ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. અઠવા ઝોનમાં પાણીની સુવિધા માટે માસ્ટર પ્લાનશહેરના અઠવા ઝોન વિસ્તારમાં સતત વધી રહેલી હાઈરાઈઝ ઈમારતો અને ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ તથા એરપોર્ટની આસપાસના વિસ્તારોના ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને પાલિકાએ અત્યારથી જ આયોજન શરૂ કર્યું છે. હાઈડ્રોલિક વિભાગ દ્વારા 120 લાખ લીટરની ક્ષમતા ધરાવતી અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક (UGWT) સહિત બુસ્ટર હાઉસ અને 5થી 20 લાખ લીટરની અલગ-અલગ ક્ષમતા ધરાવતી 5 ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે 86.95 કરોડ રૂપિયાના અંદાજ સામે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્લાસિક નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 11.57% નીચા ભાવે 76.89 કરોડ રૂપિયાનું ટેન્ડર ભરવામાં આવ્યું છે. આ દરખાસ્ત હવે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામે શહેરના બે મોટા પ્રકલ્પોભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને વિશેષ સન્માન આપવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ, ભીમરાડ-બમરોલી વિસ્તારમાં કાંકરાખાડી પર નિર્મિત 60 હેક્ટરના વિશાળ 'બાયોડાયવર્સિટી પાર્ક'નું નામ હવે 'ભારત રત્ન અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક' રાખવામાં આવશે. આ ઉપરાંત, કતારગામ ખાતે TP 35, FP 130 પર નિર્માણાધીન આધુનિક ઓડિટોરિયમનું નામ પણ અટલજીના નામ પરથી કરવામાં આવશે. શુક્રવારે મળનારી શાસકોની બેઠકમાં આ અંગે સત્તાવાર મંજૂરીની મ્હોર મારવામાં આવશે. આ નિર્ણય દ્વારા સુરત પાલિકાએ અટલજીની સ્મૃતિને કાયમ માટે જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. સરથાણા નેચર પાર્કમાં નવી સુવિધાઓ ઉમેરાશેસુરતનું લોકપ્રિય પ્રવાસન સ્થળ સરથાણા નેચર પાર્ક હવે વધુ આધુનિક બનશે. હાલમાં પાલ ખાતેનું એક્વેરિયમ રિનોવેશન હેઠળ હોવાથી નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા અને વહીવટી સરળતા માટે અહીં 3.57 કરોડ રૂપિયાના ખર્ચે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ અને ઓડિટોરિયમ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે 5 કરોડ રૂપિયાના અંદાજ સામે હરેશ કન્સ્ટ્રક્શન દ્વારા 28.77% નીચું ટેન્ડર ભરવામાં આવ્યું છે. અંદાજે 3.57 કરોડના ખર્ચે આ નવું બાંધકામ પૂર્ણ થતા નેચર પાર્કમાં આવતા મુલાકાતીઓ અને શાળાના બાળકો માટે શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓ વધુ સુગમ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:51 pm

AMCમાં પેપરલેસ કામગીરી થશે, મેયરથી લઈ કોર્પોરેટરો ટેબલેટનો ઉપયોગ કરશે:સામાન્ય સભામાં એજન્ડાના પેપરોની બદલે ટેબલેટ માહિતી મેળવશે, ગુજરાતની સૌપ્રથમ મનપા બનશે

આજના ટેકનોલોજીના યુગમાં દિન પ્રતિદિન દરેક કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મહિને મળતી સામાન્ય સભામાં ટેબલેટનો ઉપયોગ કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સામાન્ય સભામાં હાજર રહેતા દરેક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટરોની સીટ પાસે ટેબલેટ લગાવવામાં આવશે. સામાન્ય સભામાં ચર્ચા થનારા તમામ કામોની વિગત ટેબ્લેટ મારફતે તેઓ જાણી શકશે. ગુજરાતનું સૌ પ્રથમ સામાન્ય સભામાં પેપર લેસ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. પેપરલેસ કામગીરી અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પો. ગુજરાત રાજ્યનું પ્રથમ શહેર બનશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ ડિજીટલ ઇન્ડિયાના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દર મહિને મળનારી સામાન્ય સભા હવે પેપરલેસ કરી ડિજિટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપરલેસ કામગીરી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત રાજ્યનું પ્રથમ શહેર બનશે. સામાન્ય સભામાં એજન્ડાના પેપરોની બદલે ટેબલેટ જોવા મળશે. ધી જી.પી.એમ.સી. એકટ-1949ની જોગવાઈ મુજબ દર મહિને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓછામાં ઓછી એક સામાન્ય સભા બોલાવવાની જોગવાઈ છે. જે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દર મહિને આયોજન કરવામાં આવે છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થવાથી ખર્ચ નહીં થાયઆ ઉપરાંત બજેટ માટે ખાસ સભાનું આયોજન થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ લેવાયેલા નિર્ણયો અને કામો થાય તેની નિયમ મુજબ એજન્ડા અને નોટીસ કે જે સામાન્ય રીતે સભ્યોને તેઓના નિવાસ સ્થાને મોકલવામાં આવે છે. સભાના દિવસે તેની એક નકલ દરેક સભ્યના બેઠક સ્થાન પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સભાના એજન્ડાની આશરે 500 નકલ તેમજ નોટિસની 300 જેટલી નકલ પ્રિન્ટીંગ કરવાનો આશરે ખર્ચ દર મહીને રૂપિયા 15થી 20 હજાર જેટલો ખર્ચ થાય છે તેમજ પોસ્ટનો ખર્ચ આશરે રૂપિયા 10 હજાર જેટલો થાય છે. સભાઓના એજન્ડા નોટીસ વિગેરે પ્રિન્ટીંગ કરવાનો અંદાજીત વાર્ષિક 4 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થવાથી આ ખર્ચનો બચાવ થશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:32 pm

બોમ્બે માર્કેટ સામે ગોઠણ સુધીના પાણી ભરાયા:પાણીની ટાંકીનો પાઈપ ફાટતા અડધો કિમીના રોડ પર ટ્રાફિકજામ, ડેમ તૂટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ધમધમતા બોમ્બે માર્કેટ નજીક આજે વહીવટી તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો. અહીં આવેલી સુરત મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીની મુખ્ય પાઈપ લાઈન અચાનક ધડાકા સાથે ફાટી જતા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બોમ્બે માર્કેટની સામેના રોડ પર ગોઠણસમા પાણી ભરાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અડધો કલાક થવા છતાં પાલિકાના કોઈ અધિકારી ઘટના સ્થળે ફરક્યા નહીં. ડેમ તૂટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયામળતી માહિતી પ્રમાણે, પાઈપ ફાટતાની સાથે જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોતજોતામાં પાણીનો આ પ્રવાહ બોમ્બે માર્કેટની સામેના મુખ્ય રોડ પર ફરી વળ્યો હતો. આશરે અડધો કિલોમીટર સુધીના રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. ગોઠણસમા પાણી અને ટ્રાફિકજામપાણીનો નિકાલ ત્વરિત ન થવાને કારણે અને ટાંકીમાંથી સતત પાણી વહી રહ્યું હોવાથી રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રાહદારીઓ અને ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જતા વિસ્તારમાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઉપરાંત, રોડ પર આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્રની ગંભીર બેદરકારીસૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું અને રોડ પર પૂર જેવી સ્થિતિ હતી, છતાં ઘટનાના અડધો કલાક વીતી ગયા પછી પણ પાલિકાના કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. પાણી રોકવા માટેની કોઈ તજવીજ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકાના પાપે અને બેદરકારીને કારણે લોકોને અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:32 pm

CAT 2025નું પરિણામ જાહેર, 100 ટકા મેળવનારા ગુજરાતના બે વિદ્યાર્થી:રાજ્યના 12 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, IIMની વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાશે

દેશમાં આવેલી 21 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CATનું પરિણામ જાહેર થયુ છે. દર વર્ષે જુદી જુદી આઈઆઈએમ દ્વારા કેટ પરીક્ષા લેવાય છે. આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોઝિકોડે કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2025ના પરિણામો જાહેર કર્યા છે. CAT 2025 માટે હાજર રહેલા ઉમેદવારો હવે IIMની સત્તાવાર વેબસાઇટ iimcat.ac.inની પરથી તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. 12 જેટલા ઉમેદવારોએ 100 ટકા સ્કોર કર્યોદેશના 170 શહેરોમાં 339 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. 2.95 લાખ રજીસ્ટ્રેશનમાંથી 2.58 લાખ જેટલા ઉમેદવારોએ આ વર્ષે પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતના 12,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 જેટલા ઉમેદવારોએ 100 ટકા સ્કોર કર્યો છે. જેમાં 100 ટકા મેળવનારા ઉમેદવારોમાં દિલ્હીના ત્રણ, હરિયાણા અને ગુજરાતના બે-બે અને ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઓડિશાના એક-એક ઉમેદવારોનો સમાવેશ થાય છે. 26 ઉમેદવારોએ 99.99 ટકા ગુણ મેળવ્યા છે. જેમાંથી 5 ઉમેદવારો હરિયાણાના, 4 ઉત્તર પ્રદેશ અને હરિયાણાના, 3 રાજસ્થાનના, 2 તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના, ગુજરાત, દિલ્હી, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશના એક એક ઉમેદવાર છે. 30 નવેમ્બરના પરીક્ષા ને આજે 24 ડિસેમ્બરે રિઝલ્ટCAT 2025ની પરીક્ષા 30 નવેમ્બર 2025ના રોજ યોજાઈ હતી. ત્યારબાદ 4 ડિસેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી અને ઉમેદવારો માટે વાંધા રજૂ કરવાની વિન્ડો 8 ડિસેમ્બર સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. પરીક્ષાનો કુલ સમયગાળો 120 મિનિટનો હતો. જેમાં ત્રણ વિભાગો હતા એક VARC (મૌખિક ક્ષમતા અને વાંચન સમજણ), DILR (ડેટા અર્થઘટન અને તાર્કિક તર્ક), અને QA (માપનાત્મક ક્ષમતા). દરેક વિભાગને 40 મિનિટ ફાળવવામાં આવી હતી. પાસ થયેલા IIMમાં પ્રવેશ માટે એપ્લાય કરી શકશેCAT 2025માં લાયકાત ધરાવતા ઉમેદવારો હવે ટોચના IIMમાં MBA અથવા PGDM પ્રવેશ માટેની આગળની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્ર બનશે. તેમજ આ ઉમેદવારો FMS દિલ્હી, IIFT, MDI, IIT મુંબઈ અને દિલ્હીના MBA કોર્સમાં, TISH જેવી 200 જેટલી પ્રતિષ્ઠિત MBA માટેની કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કરી શકશે. 'સવારે નોકરી કરતી અને રાત્રે-સવારે પરીક્ષાની તૈયારી કરતી'99.98 ટકા સ્કોર કરનાર પ્રસંશા શાહે જણાવ્યું હતું કે, મારા મહેનત હતી તે પ્રમાણે પરિણામ આવ્યું છે. આ મારો બીજો પ્રયાસ હતો. ગયા વર્ષે પણ પરીક્ષા આપી હતી પરંતુ ત્યારે 98 ટકા સ્કોર જ આવ્યો હતો. પરિવારના સપોર્ટના કારણે આ પરિણામ આવ્યું છે. મહેનત માટે અને મોટીવેટ કરવામાં આવતા જ આ પરિણામ આવ્યું છે. આ પ્રકારનું પરિણામ લાવવું એક મહિલા માટે ઘણું બધું અઘરું હોય છે. પરંતુ પરિવારે મારા પર કોઈ વધારાની જવાબદારી ન નાખી તેના કારણે આ પરિણામ મેળવી શકી છું. નોકરીની સાથે સાથે આ પરિણામ મળ્યું છે. સવારે નોકરી કરતી હતી અને રાત્રે અથવા સવારે વહેલા ઊઠીને પરીક્ષા માટેની તૈયારી કરતી હતી. 'દરરોજ સાતથી આઠ કલાકની તૈયારી કરતો'99.28 ટકા સ્કોર કરનાર સ્તવન પોટાએ જણાવ્યું હતું કે, પરીક્ષા માટે દરરોજ સાતથી આઠ કલાકની તૈયારી કરતો હતો. મને એક બીમારી પણ છે જેમાં મસલ ધીમે ધીમે વિક થવા લાગે છે. જેના કારણે પણ પરીક્ષાની તૈયારી કરવામાં તકલીફ પડતી હતી. પરંતુ આ બધી તકલીફ મેનેજ કરીને તૈયારી કરતો હતો. પરિવારમાં તમામ લોકોના સપોર્ટના કારણે મહેનત કરી શક્યો હતો. દર અઠવાડિયે ટેસ્ટ આપીને તેનું એનાલિસિસ કરી તેના આધારે તૈયારી કરતો હતો જેથી આ પરિણામ આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:23 pm

આહવાથી 20 વર્ષીય યુવતી ગુમ:દૂધ લેવા નીકળ્યા બાદ પરત ન ફરતા પોલીસે ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી એક 20 વર્ષીય યુવતી ગુમ થઈ છે. રેણુકા સદાશિવભાઈ પવાર નામની આ યુવતી 8 નવેમ્બર, 2025ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે દૂધ લેવા દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી નથી. પરિવારે આહવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિક્ષક પૂજા યાદવ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, રેણુકાપોતાની દાદીને જાણ કરીને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જાહેર કરેલા વર્ણન મુજબ, રેણુકાબેન ઘઉંવર્ણના છે, તેમનો ચહેરો ગોળ છે અને તેમની ઊંચાઈ આશરે 5 ફૂટ છે. તેમની ખાસ ઓળખ માટે જમણા ગાલ પર જૂના ખીલનો ડાઘ છે અને જમણા હાથના કાંડા પાસે “V R” લખેલું ટેટૂ છે. ગુમ થઈ ત્યારે તેણે લીલા રંગનો કુર્તો, કમરે કાળા રંગનો પ્લાઝો અને લીલા રંગની કાળા ટપકાંવાળી ઓઢણી પહેરેલી હતી. આહવા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારો, બસ સ્ટેન્ડ, બજાર અને અન્ય સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરી છે. યુવતીને શોધવા માટે પોલીસે જનસહયોગની અપીલ પણ કરી છે. પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે જો ઉપરોક્ત વર્ણનવાળી યુવતી કોઈપણ શહેર કે જિલ્લામાં જોવા મળે, તો તાત્કાલિક આહવા પોલીસનો સંપર્ક કરે. માહિતી આપવા માટે આહવા પોલીસ કંટ્રોલ રૂમ – 02631-220322 / 220568 અથવા આહવા પોલીસ સ્ટેશન – 02631-220333 પર સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:14 pm

ઉવારસદમાં ગ્રાહક જાગૃતિ શિબિર યોજાઈ:રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે અધિકારોની જાણકારી અપાઈ

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે ઉવારસદ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી આ શિબિર યોજાઈ હતી. દર વર્ષે ૨૪ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ કાર્યક્રમમાં ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ, તમામ સભ્યો, તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં સંસ્થાના બેનર અને પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, તેમજ પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોને ગ્રાહકોના અધિકારો, ફરિયાદોના નિરાકરણ માટે સંપર્ક કરવાની રીત અને હેલ્પલાઇન નંબર વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. સંસ્થાના સુચિત્રા પાલે ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા બાબતે પોતે પણ જાગૃત રહેવા અપીલ કરી હતી. તેમણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની સરળ ભાષામાં સમજણ આપી હતી. ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવવા અને છેતરાતા બચી અન્ય ગ્રાહકોને પણ મદદરૂપ થવા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, ભેળસેળ અને કાળા બજારિયાઓ સામે કેવી રીતે લડત આપવી અને કઈ ઓથોરિટી પાસે ફરિયાદ કરવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સુચિત્રા પાલે જણાવ્યું હતું કે રેલવે ટિકિટની કિંમતમાં મુસાફરના વીમાનું પ્રીમિયમ સામેલ હોય છે અને ઘરમાં ગેસ સિલિન્ડર લીક થાય તો પણ વળતર મળી શકે છે. આ કાર્યક્રમમાં ગ્રામ્ય મહિલાઓ અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતા અન્ય સંસ્થાના પ્રતિનિધિ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉવારસદ ગામના સરપંચ જીવણજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજનમાં તલાટી પુલકભાઈ પટેલ અને વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર ચિરાગ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:10 pm

કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:સંબંધિત વિભાગોને અરજદારોની રજૂઆતના નિકાલ માટે સૂચના અપાઈ

જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે નાગરિકોને ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી નિયમિતપણે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં અરજદારોએ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં સરકારી ખરાબા/ગૌચર જમીન અને નવા-જૂના ગામતળ પરના દબાણો દૂર કરવા, જૂના ગામતળમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા, ખાનગી માલિકીની જમીનમાં થયેલા દબાણ દૂર કરાવવા અને ગૌચરની જમીન ખુલ્લી કરાવવા જેવી રજૂઆતો મુખ્ય હતી. આ ઉપરાંત, નિવૃત્ત કર્મચારીઓના ઉચ્ચતર પગાર મંજૂર કરાવવા, ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ, જમીન ધોવાણ અને પી.એચ.સી.ના કામની ગુણવત્તા સંબંધિત પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને નાગરિકલક્ષી પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવા સૂચના આપી હતી. જ્યાં જરૂરી હોય ત્યાં વિભાગો વચ્ચે પરસ્પર સંકલન કરીને અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે રીતે કામગીરી કરવા અધિકારીઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણ અને અજય શામળા સહિત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), આરોગ્ય વિભાગ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:06 pm

સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત ચોટીલા અભિયાન:તંત્રએ વેપારીઓને પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો, 1 જાન્યુઆરીથી આકસ્મિક દરોડા પડાશે

ચોટીલા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત ચોટીલા અભિયાન અંગે 11 એપ્રિલના રોજ વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે સમયની માંગણી કરતાં તેમને 31 ડિસેમ્બર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો ત્યા સુધીમાં પ્લાસ્ટિકનો નિકાલ નહીં કરાઈ તો 1 જાન્યુઆરી, 2026થી પ્રાંત કચેરીની ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત ચોટીલા અભિયાન અંગેની બેઠકમાં વેપારીઓને 120 માઇક્રોનથી ઓછા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સૂચના અપાઈ હતી. પ્રતિબંધિત વસ્તુઓમાં પ્લાસ્ટિક પ્લેટ, ચમચી, કાંટો, છરી, સ્ટ્રો, સ્ટિરર, ઇયરબડ, આઇસક્રીમ સ્ટિક, બલૂન સ્ટિક, પોલિસ્ટાયરિન (થર્મોકોલ) ડેકોરેશન સામગ્રી, થર્મોકોલ પ્લેટ/કપ, સિગારેટ/પાનમસાલા/ગુટખાની પ્લાસ્ટિક પેકિંગ ફિલ્મ, મીઠાઈના બોક્સ પરની પ્લાસ્ટિક શીટ, હોટલમાં વપરાતા સોસ/ચટણીના નાના પ્લાસ્ટિક પાઉચ અને પ્લાસ્ટિક ઝંડા/ફૂલનો સમાવેશ થાય છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના 4 ફેબ્રુઆરી, 2022ના નોટિફિકેશન નંબર F.NO.B.17011/7/PWM/2022 અને Environmental Protection Act-1986ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે સમયની માંગણી કરતાં તેમને 31 ડિસેમ્બર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી, 2026થી પ્રાંત કચેરીની ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવશે. જો કોઈ વેપારી આ સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે, તો તમામ પ્લાસ્ટિક જપ્ત કરીને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જોગવાઈઓના ભંગ બદલ દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 8:01 pm

વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત:દાહોદ મેમુ, અમદાવાદ મેમુ અને ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ, જાણો કઈ ટ્રેન પ્રભાવિત

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નંબર 3 પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ 24 ડિસેમ્બર 2025થી 17 જાન્યુઆરી 2026 સુધી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. શૉર્ટ ટર્મિનેટ થવા વાળી ટ્રેનો 1. ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 2. ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે 4. ટ્રેન નંબર 12929 વલસાડ-વડોદરા ઇન્ટરસિટી તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી વિશ્વામિત્રી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વિશ્વામિત્રી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 5. ટ્રેન નંબર 69120 દાહોદ-વડોદરા મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 6. ટ્રેન નંબર 69118 ગોધરા-વડોદરા મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. શૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થવા વાળી ટ્રેનો 1. ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. 3. ટ્રેન નંબર 69119 વડોદરા-દાહોદ મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે યાત્રીઓએ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:59 pm

Editor's View: ઠાકરે બ્રધર રિટર્ન્સ:રાજ-ઉદ્ધવનો વીસ વર્ષે મહામિલાપ, મોદી-શાહ પર સીધો ઘા કર્યો, મહારાષ્ટ્રનું સિંહાસન ડગમગાવશે?

7300 દિવસો.... આટલા સમયમાં તો પેઢીઓ બદલાઈ જાય, પણ એક જ લોહીની બે નસો વચ્ચે વહેતી નફરત ઓછી ન થઈ. જો કે આજે જ્યારે મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેએ એક જ સોફા પર બેઠા ત્યારે દેખાયું કે જ્યારે સિંહ પોતાનો જ વિસ્તાર ખોઈ બેસે ત્યારે ફરીથી ગર્જના કરવા માટે પોતાના જ લોહીની જરૂર પડે છે. શિયાળાની બપોરમાં વરલીના હોલમાં ઠંડક નહીં પણ 20 વર્ષ જૂની થીજેલી નફરત ઓગળતી દેખાઈ રહી હતી. જે શિવસેનાના ફાંટા પાડવા માટે વિરોધીઓએ એડીચોડીનું જોર લગાવ્યું એ જ શિવસેના આજે ફરી ઠાકરે બ્રાન્ડ આઈડેન્ટીટી સાથે ઉભી થઈ છે. રાજ અને ઉદ્ધવ ઠાકરેની આજની પત્રકાર પરિષદથી પારિવારિક પુનઃમિલન એટલા માટે થયું કારણ કે જો ન થાત તો બંનેના અસ્તિત્વને રાજકારણનો અજગર ભરડો લઈ જાત. નમસ્કાર... જેમ 14 વર્ષના વનવાસ પછી રામ અયોધ્યા પાછા ફર્યા હતા, તેમ 20 વર્ષના લાંબા રાજકીય વનવાસ અને સંઘર્ષ પછી આજે બંને ઠાકરે ભાઈઓ એક મંચ પર પાછા ફર્યા છે. પૂરી વાતને જાણવા માટે બંને ભાઈઓનો શોર્ટ પરિચય મેળવી લઈએ. ઉદ્ધવ ઠાકરે-એક પરિચય રાજ ઠાકરે-એક પરિચય ઉદ્ધવ અને રાજ પિતરાઇ ભાઈ સમાજ સુધારક પ્રબોધનકાર ઠાકરેના સંતાનો છે શ્રીકાંત ઠાકરે અને બાલાસાહેબ ઠાકરે. બાલાસાહેબના દીકરા ઉદ્ધવ ઠાકરે, શ્રીકાંતના દીકરા રાજ ઠાકરે. આમ બંને એકબીજાના પિતરાઈ ભાઈ થયા. આજે તેમની પત્રકાર પરિષદ બાદ મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. બંનેએ જે પત્રકાર પરિષદ કરી તેના પાંચ મુદ્દાઓ જાણીએ. 1) આવનાર મુંબઈ મનપા અને બીજી 29 મનપા ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડશે. 2) ભૂલ કરશો તો ખતમ થઈ જશો મહારાષ્ટ્રને ઉદ્ધવ ઠાકરેની ચેતવણી 3) મહારાષ્ટ્રનું હિત કોઈપણ અંગત લડાઈ કે વિવાદ કરતાં ઘણું મોટું છે - રાજ ઠાકરે 4) મુંબઈનો મેયર 'મરાઠી' જ હશે 5) ઉદ્ધવ ઠાકરેનું સૌથી મોટું નિવેદન અમે દિલ્હીમાં બેઠેલા બે લોકોને રોકવા આવ્યા છીએ. આ પત્રકાર પરિષદમાં નોંધવા જેવી વાત એ હતી કે પ્રબોધનકાર ઠાકરે એટલે બંનેના દાદા અને બાળા સાહેબ ઠાકરે એટલે શિવસેનાના સ્થાપક બંનેના ફોટો હતા. બીટવીન ધ લાઈન્સ અહીં સમજી શકાય કે બંને મહારાષ્ટ્ર અને મોદી-શાહ જોડી અને શિંદેને આડકતરો સંદેશ આપે છે કે અસલી શિવસેનાના વારસો જ મહારાષ્ટ્ર પર એક હથ્થું શાસન કરશે. અહીં સવાલ એ છે કે તેમને સાથે લાવનાર કોણ? શું આ માત્ર ભાઈચારો છે? ના. અહીં ઠાકરે પરિવારનો ભાજપ નામનો વિલન તેમનું રાજકીય અસ્તિત્વ ભૂંસવાના કાવતરા કરી રહ્યો હતો માટે ઠાકરે બંધુઓને આ ગઠબંધન કરવાની તેમને તાતી જરૂર પડી છે. સૌથી નજીકની ઘટનાની જ વાત કરીએ તો 16 એપ્રિલ 2025ના મહારાષ્ટ્રમાં ફડણવીસની સરકારે એક ઠરાવ બહાર પાડ્યો હતો કે રાજ્યની બધી જ શાળામાં હિંદીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવાય, વિરોધ વધ્યો તો 17 જૂન 2025ના હિંદીને ડિફોલ્ટ ભાષા બનાવાઈ. પણ રાજ અને ઉદ્ધવ ઠાકરેએ આને મહારાષ્ટ્રમાં હિંદીનું અતિક્રમણ તરીકે જોયું અને બંને ભાઈઓએ એક થઈ વિરોધ કર્યો અને ફડણવીસ સરકારને ઠાકરે બંધુ સામે નમવું પડ્યું. એ જૂન અને આજની ડિસેમ્બર ઠાકરે બંધુને સમજાયું કે દિલ્લી અને ફડણવીસ-શિંદેને ઝુકાવવા હોય તો એક થવું પડશે અને આજે બંને સત્તાવાર રીતે એક થયા. મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની સ્ટ્રેટેજી કે પાવરને સમજવો હોય તો એવી રીતે સમજી શકાય કે ઠાકરે શબ્દના ઉપયોગ વગર તેમણે નવી શિવસેના ઉભી કરી દીધી અને સત્તામાં આવી ગયા. મહારાષ્ટ્ર જેવો વિસ્તાર જ્યાં રાજનીતિમાં પ્રાંતવાદ ચરમસીમાએ હોય છે ત્યાં આવું કરવું બહુ મોટી વાત થઈ જાય. જ્યારે સામેની બાજુ રાજ અને ઉદ્ધવ ઠાકરે, બંને ભાઈઓ પાસે માત્ર ખાલી ખુરશી જ રહી ગઈ. તેમનો ડર છે કે જો હવે એક નહીં થઈએ, તો ઈતિહાસ ઠાકરે પરિવારને માત્ર એક ફૂટનોટ તરીકે યાદ રાખશે. માટે લાંબી ટાઈમલાઈન બાદ બંનેને સાથે આવવાની જરૂર પડી છે. આ પરિવારના ઈતિહાસને માટે આપણે એ સમયમાં જવું પડશે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનો જન્મ થયો હતો... 1950-60ના દાયકામાં જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન ચાલતું હતું ત્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરેના દાદા પ્રબોધનકાર ઠાકરેએ મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવવા માટે લોહી-પરસેવો રેડ્યો હતો. તેઓ લેખક પણ હતા અને સમાજ સુધારક પણ હતા. જેમના જ સંતાનો છે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે. 2011માં જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ રાજ ઠાકરેને 9 દિવસનું ગુજરાત ભ્રમણ કરાવ્યું ત્યારે રાજે મોદીના વિકાસ મોડલના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ જોઈને હું પ્રભાવિત થયો છું. દેશને નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ મળવું જોઈએ. 2014ની લોકસભા ચૂંટણી સમયે મોદીના સમર્થનમાં એવું પણ કહી દીધું હતું કે, હું કદાચ પહેલી વ્યક્તિ હોઈશ જેણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જોઈએ. રાજ ઠાકરે આવું એટલા માટે કરતા હતા કારણ કે તેમને ઉદ્ધવથી પોતાનું કદ મોટું કરવું હતું. પણ 2014થી 2019 આવતા સુધીમાં રાજ મોદીના કટ્ટર વિરોધી બની ગયા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં રાજે મહારાષ્ટ્રભરમાં સભાઓ ગજવી હતી ત્યારે એક શબ્દ ખૂબ વાયરલ થયો હતો. લાવ રે તો વિડીયો એટલે તે વિડીયો લગાવો. કારણ હતું કે રાજ મોટી સ્ક્રિન પર મોદીના જૂના ભાષણો ચલાવતા હતા અને તેમને ખુલ્લા પાડતા હતા. આજે રાજે તે જ મોદી સામે લડવા માટે ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવ્યો છે. પરંતુ આ 20 વર્ષના અલગ રસ્તાઓએ બંનેને શું આપ્યું? ચાલો જોઈએ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની 2009થી 2024 વચ્ચેની ચૂંટણીમાં બંને ભાઈઓનું પ્રદર્શન જોઈએ. જે નુકસાનની ભરપાઈ કરવી ઠાકરે બ્રધર્સ માટે અતિ જરૂરી હતી. માટે હવે બંને ઠાકરે ભાઈઓએ પોતાની શક્તિને એક કરીને ઘીના ઠામમાં ઘી ભેળવ્યું છે. બંનેની જોડી કેટલી ખતરનાક છે તે જાણો ઉદ્ધવ અને રાજની તાકાત ઉદ્ધવ ઠાકરે એડમિનિસ્ટ્રેટર છે જ્યારે રાજ ઠાકરે ઓરેટર. ઉદ્ધવ પાસે સંયમ, સંગઠન છે તો રાજ પાસે યૂથ આકર્ષણ અને વિઝન છે. ઉદ્ધવ ગ્રાઉન્ડ નેટવર્ક ધરાવે છે તો રાજ ક્રાઉડ પુલર છે. ઉદ્ધવ સમાવેશી હિંદુત્વમાં માને છે જ્યારે રાજ કટ્ટર હિંદુત્વ, પ્રદેશવાદમાં માને છે. જો ઠાકરે ભાઈઓ આ વખતે BMC એટલે કે મુંબઈ મહાનગરપાલિકા હારે, જેનું બજેટ અંદાજે 52 હજાર કરોડથી વધુ છે; તો તેમની રાજકીય અને આર્થિક બંને રીતે કમર કાયમી તૂટશે. બંનેનું એક મંચ પર આવવાનું કારણ જ 'કરો યા મરો'ની લડાઈ છે. અમેરિકાને છીંક આવે અને દુનિયાને શરદી થઈ જાય એ રીતે જ મુંબઈમાં આ હલચલ થાય છે, ત્યારે તેની અસર દિલ્લી સુધી જોઈ શકાય છે. જ્યારે શિવસેનાના ભાગલા થયા હતા ત્યારે રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે આ અમિત શાહની ચાણક્ય નીતિ છે. હવે ઠાકરે 2.0 ગઠબંધન પછી રાજકીય વિશ્લેષકો આ ઘટનાને મરાઠી માનુસ રિજિયોનલ પ્રાઈડ કહી રહ્યા છે. વિશ્લેષકોનું ત્યાં સુધી કહેવું છે કે ઠાકરે એક ઈમોશન છે જે દરેક મરાઠીઓના DNAમાં સમાઈ ગયું છે. અને આ DNAની અસર કેવી રીતે મહારાષ્ટ્રની તસવીર બદલશે તે સમજીએ... મહારાષ્ટ્ર એ દેશનું આર્થિક એન્જિન છે. જો આ એન્જિન પર ઠાકરે ભાઈઓનો કબજો પાછો આવે, તો દિલ્હીની ઘણી સેન્ટ્રલ પોલિસીઝ અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના લોકોએ આનાથી કેમ ચિંતિત થવું જોઈએ? મુંબઈમાં તમારો વેપાર 'ઠાકરે ફેક્ટર' થી ક્યારેય અછૂતો રહ્યો નથી. રાજ ઠાકરે જ્યારે એકલા હતા ત્યારે તેમનો અભિગમ ઘણીવાર આક્રમક રહેતો હતો. હવે સવાલ એ છે કે શું ઉદ્ધવની સૌમ્યતા રાજની આક્રમકતાને કાબૂમાં રાખશે? કે પછી સત્તા મેળવવા માટે ફરીથી ત્યાંના પરપ્રાંતિયોને નિશાન બનાવવામાં આવશે? તમારી સુરક્ષા અને વેપારની સરળતા હવે આ બે ભાઈઓના 'નવા એજન્ડા' પર નિર્ભર છે. ઠાકરે ભાઈઓના એક મંચ પર આવવાથી હવે મહારાષ્ટ્રમાં શિંદે સૈનિકો અને ઠાકરે સૈનિકો વચ્ચે ગલી યુદ્ધ જોવા મળી શકે છે. જો આ એક ચૂંટણી પૂરતી વાત નહીં હોય તો ભવિષ્યમાં રાજ સૌથી મોટા માસ લીડર તરીકે ઉભરી શકે એમ છે. અને જો આવું થાય તો મહારાષ્ટ્રમાં મોદી વિરોધી નેરેટિવને મોટી ધાર મળી શકે એમ છે. જો આ જોડી ટકી ગઈ, તો મહારાષ્ટ્રમાં કમળ ખીલવવું ભાજપ માટે હિમાલય ચઢવા જેવું સાબિત થઈ જશે. અને છેલ્લે…. ગુજરાત અને મહારાષ્ટ્ર ભાગલા થયા તે સમયે બાળા ઠાકરે કટ્ટર ગુજરાત વિરોધી હતા. જેનો રેફરન્સ માર્મિક, સામના, મરાઠા, નવશક્તિ જેવા માધ્યમોમાં લેખ કે કાર્ટુનથી મળે છે. તેમણે ભાષણોમાં પણ કહ્યું હતું કે મુંબઈની મિલો અને વેપાર પર ગુજરાતી-મારવાડીઓનું વર્ચસ્વ છે. તેઓ મરાઠી યુવાનોને પ્યુનથી આગળ વધવા દેતા નથી અને મેનેજમેન્ટમાં પોતાના જ લોકોને લાવે છે. કહેવાય છે ને કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. હાલ તેમના જ દીકરા ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે અમે દિલ્હીમાં બેઠેલા બે લોકોને રોકવા આવ્યા છીએ. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:59 pm

11 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:ભરૂચ બી ડિવિઝન પોલીસે અમદાવાદથી પકડ્યો

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે 11 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આ આરોપી લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, વર્ષ 2014ના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી અપ્પો ઉર્ફે અમરસિંગ વરસિંગભાઇ બારીયા (રહે. રાવલી ફળીયું, ચીલાકોટા, જિ. દાહોદ) અમદાવાદમાં ઓળખ છુપાવી મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે ભરૂચ બી ડિવિઝનના પી.આઈ. વી.એસ. વણઝારા અને તેમની ટીમે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન, ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન અને સુરતના ખટોદ્રા પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે. 11 વર્ષ સુધી કાયદાની પકડથી દૂર રહેલા આ આરોપીને ઝડપી પાડ્યા બાદ ભરૂચ પોલીસે તેને આગળની કાર્યવાહી માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:55 pm

ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો:સુરતમાં હોટલની ફાયર NOCના બદલામાં પૈસા માગતા છટકું ગોઠવ્યું, ACBએ એક જ દિવસમાં બે લાંચિયા અધિકારી દબોચ્યા

સુરત ACBએ એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. પહેલાં સર્કલ ઓફિસરને 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેના ગણતરીના કલાકમાં જ SMCમાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરત ACBની ટીમે મુગલીસરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હોટલની ફાયર NOCના બદલામાં 1 લાખની માગણી કરીઆ કેસની વિગત મુજબ એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-3 અધિકારી ઇશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ 1 લાખની લાંચ લેતા રંગેહાથ દબોચ્યાતા. 24 ડિસેમ્બરના રોજ ફરિયાદીની ફરિયાદના આધારે ACBએ ચોકબજાર સ્થિત મુગલીસરાઈ ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ છટકું ગોઠવું હતું. આ દરમિયાન આરોપી ઇશ્વર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માગણી કરી હતી અને જેવી 1 લાખની રકમ સ્વીકારી કે તરત જ ACBએ તેમને દબોચી લીધા હતા. ઇશ્વર પટેલ SMCમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરતACB દ્વારા સ્થળ પરથી લાંચની 1 લાખની પૂરેપરી રકમ રિકવર કરવામાં આવી છે. આરોપી ઇશ્વર પટેલ (ઉ.વ. 48) સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો. સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી ACBની ટીમએ ઓપરેશન પાર પાડ્યુંઆ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી ACB પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ આગળ વધારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:51 pm

SSG હોસ્પિટલમાં સંપૂર્ણ સ્વચાલિત બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝરનું ઉદ્ઘાટન:અત્યાધુનિક મશીનથી દર્દીઓને ફાયદો થશે

વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરીમાં અદ્યતન સંપૂર્ણ સ્વચાલિત બાયોકેમિસ્ટ્રી વિશ્લેષક ‘TRANSASIA ERBA XL-640’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક નિદાન સાધન સુદ-કેમી કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિ અંતર્ગત ઉદારતાપૂર્વક દાનમાં આપવામાં આવ્યું છે. નિદાન સેવાઓે મજબૂત બનશેઆ પ્રસંગે ડૉ. રંજન ઐયરે જણાવ્યું કે, આ સંપૂર્ણ સ્વચાલિત વિશ્લેષક ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઇમ અને વધુ ચોકસાઈ સાથે અમારી નિદાન સેવાઓને મજબૂત બનાવશે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળનું સ્તર ઊંચું લાવવા માટે ઔદ્યોગિક ભાગીદારો સાથેનો આવો સહયોગ અત્યંત મહત્વનો છે. સુદ-કેમીના વાઇસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) વી. શ્રીધરને કહ્યું કે, સુદ-કેમીમાં અમે સમાજ પ્રત્યેની જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ. આ અદ્યતન વિશ્લેષકના દાન દ્વારા અમે એસએસજી હોસ્પિટલને મોટી સંખ્યામાં દર્દીઓ સુધી વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત નિદાન સેવાઓ પહોંચાડવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ. બાયોકેમિસ્ટ્રી વિશ્લેષક ‘TRANSASIA ERBA XL-640’નું ઉદ્ઘાટનTRANSASIA ERBA XL-640 ઝડપી તેમજ સચોટ બાયોકેમિકલ પરીક્ષણો આપીને લેબોરેટરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, જેનાથી દર્દીઓની સંભાળમાં વધુ સુધારો થશે. હોસ્પિટલ અધિકારીઓએ જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટેના આ મૂલ્યવાન યોગદાન બદલ સુદ-કેમી કંપની પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં સુદ-કેમી કંપની તરફથી વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. તેમાં વાઇસ પ્રેસિડેન્ટ વી. શ્રીધરન, યુનિટ હેડ રાજકુમાર મુખોપાધ્યાય, હેડ (એચઆર) સુરેખા ગ્રોવર, એજીએમ (પ્રોડક્શન) ભાવિત શાહ, હેડ (ઇએચએસ) નિર્મલસિંહ બલ્લી, મેનેજર (એચઆર) હિરેન શાહ, એક્ઝિક્યુટિવ (એચઆર) અંકિતા રાઠવા તેમજ સુખજીતસિંહ સંધુ ઉપસ્થિત રહ્યાં હતાં. એસએસજી હોસ્પિટલ તરફથી ડીન તથા ઇન્ચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર, એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રેયા શાહ, એડિશનલ ડીન ડૉ. જીવરાજ ડામોર અને ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરીના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 7:48 pm