મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે અણબનાવે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખા પરિવારમાં બઘડાટી બોલી ગયાની ઘટના સામે આવી છે. જેમાં પરણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરાએ લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી, માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી. સામાપક્ષે પુત્રવધુએ સસરાને રસોઈ બનાવવાની તપેલી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા, મજૂરી કામ કરતા મનિષાબેન ડાભી (ઉ.વ.30) નામના પરિણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ સામે આરોપીઓએ ફરિયાદ નોંધાવી હતી કે, પતિ સહિતના સાસરિયાઓએ પરિણીતાના ચારિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેંચીને ઇજાઓ કરી હતી જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ.60) એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને પુત્રવધુએ સસરાને મન ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી. આથી પોલીસે આ ઘરેલુ હિંસાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ
મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારના ચાલકે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. ઘટનાની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહમ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોરબીના ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનની વાત કરી સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ, વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી. સાસુ-સસરાને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. સત્સંગ સભામાં શ્રાવકોને સંત કિરણબેને આધ્યાત્મિક વાણી પીરસી હતી. રવિ બરાસરા
ઈરાન - ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની અસરને પગલે અચાનક પ્રોપેન ગેસનો પુરવઠો મળતો બંધ થતા હવે મોટાપાયે ફેકટરીઓમાં શટ ડાઉન થઇ ગયું છે અને જે ફેક્ટરી પાસે ગેસનો જથ્થો જેટલો ઉપલબ્ધ છે તેટલા સમય સુધી ફેક્ટરી ચાલુ રાખશે. જેના કારણે આ સપ્તાહ બાદ મોટાભાગની ફેક્ટરી બંધ થવાની તૈયારી છે. આજની સ્થિતિએ 400થી વધુ એકમ બંધ થઇ જતા હવે મજૂરો માટે રોજગારીનો પ્રશ્ન સર્જાઈ શકે છે. બીજી તરફ મોટા ભાગના શ્રમિકો ખાનગી કમ્પનીના ગેસ સીલીન્ડરનો ઉપયોગથી રસોઈ કરતા હોય છે. ગેસના વધતા ભાવને પગલે તેમની રોજીંદા ખર્ચમાં પણ ઝડપથી ઉછાળો આવે તેવી શક્યતા છે અને ફેકટરીઓ કેટલો સમય બંધ રહેશે તેની પણ કોઈ સમય મર્યાદા નથી આવી સ્થિતિમાં હવે મજૂરો ફેકટરીઓમાં તેમના વતન તરફ વાટ પકડી રહ્યા છે. ખાસ કરીને યુ પી, બિહાર,એમપી રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકો રેલ્વે સ્ટેશનમાં તેમના વતની ટ્રેનના બુકિંગ માટે આવી રહ્યા છે. મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ સપ્તાહમાં દૈનિક 300થી વધુ ટીકીટનું એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે અગાઉ આ આંકડો 150ની આસપાસ હતો આવી સ્થિતિ નઝરબાગ મકનસર તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે મજૂરો ઝડપથી પોતાના વતનની ટ્રેનની ટીકીટની ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ફરી શ્રમિકોનું પલાયન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મજૂરોને એમપી યુપી કે રાજસ્થાન તરફ લઇ જતી બસમાં પણ વતન તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મોરબીના સિરામીક ઉદ્યોગકારો તો શ્રમિકોને આવનાર સમય સાચવવા તૈયારી દાખવી રહ્યા છે પરંતુ ફેક્ટરી કેટલો સમય બંધ રહેશે તેનો અંદાજ નથી આવી સ્થિતિમાં ફેક્ટરી સંચાલકો પણ ક્યાં સુધી સાચવશે તેવા ભયથી મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે. ટિકિટ લેવા આવ્યા છીએ હવે ઘરે જવાની તૈયારીમારું નામ શ્રવણ કુમાર સોની નામ છે અમે યુપીના વતની છીએ અમે રેલ્વે સ્ટેશનમાં ટીકીટ લેવા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર ચાલતું હતું જોકે ફેક્ટરી બંધ થવાથી હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ ટીકીટ લેવા આવ્યા છીએ ફેક્ટરી બંધ થવાથી અહી અમે ઘરે જઈ છીએ. મોરબીથી ટ્રેન નહીં વાંકાનેર, રાજકોટથી બુકિંગ મોરબીમાં લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મોટા ભાગના શ્રમિકો રાજકોટ અથવા વાંકાનેરનું તેમજ રાજસ્થાનના શ્રમિકો માળિયા કે હળવદ રેલ્વે સ્ટેશન ટ્રેન પકડવા અહીંથી બુકિંગ કરે છે.
બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો
વાંકાનેર શહેરમાં વોરા સમાજના જમાતખાનામાં જમવા બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે શખ્સોએ યુવકની દાઢી ખેંચી, આંગળીમાં બચકું ભર્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન મહિના દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હુસેનભાઈ મહંમદહુસેન વેદ જમાતખાનામાં જમવા ગયા હતા. તે સમયે જમવા બેસવાની બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જતા હુસેનભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીની દાઢી ખેંચી હતી તેમજ તેમની આંગળીમાં બચકું ભર્યું હતું. વધુમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હુસેનભાઈ વેદે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરતજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં
મોરબીમાં હમણાં જ વીજતંત્રએ લાંબા સમયથી વીજ બિલ ભરવામાં નાદારી કરતા બાકીદારોને વીજ જોડાણ કટની નોટિસ ફટકારી વીજબીલની આકરી વસુલાત કરી હતી અને ઘણાના વીજ જોડાણ કટ પણ કરી નાખ્યા હતા. તેવી રીતે નગરપાલિકા વખતથી મનપા સુધી મોટી રકમનું વીજ બિલ બાકી હોવાથી મનપાને પણ વીજતંત્રએ નોટિસ ફટકારી હતી. પણ તંત્રએ વીજ જોડાણ કટ ન કરતા કોંગ્રેસે ભારે કાગારોળ મચાવી વીજતંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. આથી શરમમાં મુકાતા જવાબદારીનું ભાન થતા મનપાએ રાતોરાત લાંબા સમયથી રૂ.16.33 કરોડના બાકી બિલ ભરીને સિંહ માર્યો હોય તેવું જાહેર કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના પીજીવીસીએલના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે મનપા બન્યાને પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને પાલિકા વખતના બીલ બાકી હતા તો અત્યાર સુધી તંત્રએ ચલાવી કેમ લીધુંં?! આ મામલે શહેરમાં ચર્ચા ઉઠી છે કે સામાન્ય ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતી વીજ કંપનીએ મનપા સામે લાંબા સમય સુધી શા માટે નરમ વલણ દાખવ્યું તેની પણ તપાસ થવી જોઈએ.
ભાસ્કર ફોલોઅપ:3 ફૂટની દીવાલ ઉપર 3 ફૂટની નવી દીવાલ ચણતાં દુર્ઘટના ઘટી
પાટડીના કચોલીયા ગામે 7 માર્ચે સ્નાનાઘાટની દીવાલ ધરાશાઈ થતાં 38 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે, કચોલીયામાં 3 ફૂટની જૂની દીવાલવાળા હોજ પર નવી 3 ફૂટ ઊંચી દીવાલ બનાવી, જે પાણીના પ્રેસરથી વજન ન ઝીલતા દીવાલ તૂટતાં 38 વર્ષની મહિલાનો ભોગ લેવાયો હતો. જેમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં વિગતો સામે આવી કે, અગાઉ તળિયેથી 3 ફૂટ ઊંચાઈમાં ચારે બાજુ દીવાલવાળો હોજ હતો. આ દીવાલ પર 3 ફૂટ હાઈટ ઊંચો ઉપાડવાની કામગીરી પંચાયતે કરાવી હતી. જેથી પાણીની સ્ટોરેજ કેપેસિટી ડબલ થઈ ગઈ હતી. પરંતુ નીચે જૂનું બાંધકામ હોય પાણીના પ્રેસરથી નીચેથી દીવાલો તૂટી પડી હતી. જેના કારણે ત્યાં કપડા ધોઈ રહેલી મહિલા પર દીવાલ પડતા દટાઈ જવાથી સ્થળ પર જ મહિલાનું મોત થયું હતું. FSL અધિકારીએ નમૂના લઈ ગયા છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. સામાજિક આગેવાન કિરિટ રાઠોડે જણાવ્યું કે, આ ઘટનામાં માર્ચ માસમાં ગ્રાન્ટ લેપ્સ ના જાય એટલે પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કે તાલુકા પંચાયતની મંજૂરી વગર માત્ર ઠરાવ પસાર કરીને જ આ કામ કરાયું હોવાથી 10 મુદ્દા સાથે ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત આવેદનપત્ર આપ્યું હતું. નાયબ ડીડીઓ દ્વારા તપાસના આદેશઆ અંગે પાટડીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ પંચાલે જણાવ્યું કે, આ કામનો પ્રાથમિક રિપોર્ટ તો કરી દેવામાં આવ્યો છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે, આ કામમાં તાલુકા પંચાયતની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. આથી આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ કચોલીયા ગામે તળાવ પાસે આવેલા પાણીના હોજની દીવાલ પડી જવાથી મહિલાના મોત મામલે આ મિલ્કત કયારે બનાવવામાં આવેલ છે ? તથા ગ્રામ પંચાયતમાં ખર્ચ કે ઠરાવ કરેલ છે કે કેમ ? તથા આ અંગેના પ્લાન-એસ્ટિમેન્ટ / વહીવટી મંજૂરી /વર્ક ઓર્ડર મેળવેલ છે કે કેમ ? તથા આ અંગેના તમામ સાધનિક કાગળો તથા આ બનાવ કઈ રીતે બનવા પામેલ છે ? તે અંગેના રોજકામ સહિત સાધનિક કાગળો સાથેનો અહેવાલ દિન-3માં રજૂ કરવા ટીડીઓ દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.
મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધની સ્થિતિને લઇ હાલ ગેસના સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ ઘરેલુ ગેસના 14 કિલોના 60, કોમર્શિયલના 19 કિલોના 100 અને 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને 3.20 લાખ ઘર વપરશ અને 50 હજાર કોમર્શિયલ ગેસ બાટલાનું વેચાણ થતું હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે દર મહિને 6.50 કરોડનું ભારણ વધે તેમ છે. મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધને પગલે કોમર્શિયલ ગેસના સપ્લાય પર કાપની અસર વર્તાઈ રહી છે. જેને પગલે ઘરેલુ ગેસના ભાવમાં થોડા સમયમાં રૂ.60ના ભાવ વધારા સાથે 14 કિલો બાટલાના 919 થયા જ્યોર કોમર્શિયલમાં 19 કિલોના બાટલામાં રૂ.100 વધારા સાથે 1944 અને કોમર્શિયલ ગેસના 5 કિલોના રૂ. 28ના વધારા સાથે 553 ભાવ થયો છે. જેમાં જિલ્લામાં મહિને 3.20 લાખ ઘેરલુ વપરશ અને 50 હજાર કોમર્શિયલ બાટલાની જરૂર હોય છે. 5 વર્ષમાં ઘરેલુ, કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં અનેક ફેરફાર
સુરેન્દ્રનગર શહેરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક વિચારધારા અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય સાયન્સ ફેર અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તાજેતરમાં સરદાર પટેલ વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં તા.1-3-2026ને રવિવારના રોજ ભવ્ય સાયન્સ ફેર અને વેસ્ટમાંથી બેસ્ટ સર્જનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં ધો.-1 થી 4 ના બાળકોને વેસ્ટેજ વસ્તુઓમાંથી ફુલદાની, સસલા ગાડી, ચકલી ઘર, કાર્ડબોર્ડ, ઝુમ્મર, બાસ્કેટ, ઘર, લગ્નની છાબ ટ્રે, એ.ટી.એમ., વોલપીસ, ફોટોફ્રેમ જેવી અનેક સુંદર, આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવી હતી. ધો. 5 થી 9 અને 11ના વિધાર્થીઓએ રોબોટિક પ્રોજેક્ટ, વિદ્યુત અંગેના પ્રોજેક્ટ, કાળ ગણના, વ્યાકરણ, ભાષા, સ્વચ્છતા, સ્માર્ટ સીટી, પવનચક્કી, ગણિત કોયડાઓ, પાણી શુદ્ધિકરણ, કુલર, સોલાર પ્રોજેક્ટ, ટ્રાફિક સોલ્યૂશન, માનવ શરીરની કામગીરી, થ્રિડી પ્રોજેક્ટ, ડાર્કરૂમ પ્રોજેક્ટ, બાયોગેસ, એલાર્મ, ગ્લોબલ વોર્મિંગ, ચંદ્રયાન જેવા રોબોટિક, સાયન્સ, મેથ્સ અને ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેને નિહાળવા માટે સવારે 8 થી બપોરે 12.30 સુધી વાલીઓ, શહેરના વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી હતી. સરદાર પટેલ વિદ્યાલય પ્રતિવર્ષ ભવ્ય સાયન્સ ફેર યોજે છે અને બાળકોની સર્જન કલા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિને બિરદાવતા તમામ બાળકોનું શીલ્ડથી સન્માન કરાયુ હતું.
ઇમાનદારીના દર્શન થયા:સુરેન્દ્રનગરની મહિલાએ મળેલું સોનાનું મંગળસૂત્ર પરત કર્યુ
સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને બે તોલાનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપાયુ હતું.
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા:જોરાવનગરના સમૂહ લગ્નમાં 6 નવદંપતીના પ્રભુતામાં પગલાં
સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, જોરાવનગર દ્વારા 27માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ હતું. આ પ્રસંગે 6 નવદંપતીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. 27 વર્ષથી સતત ચાલતી આ પરંપરાએ સમાજમાં આર્થિક બચત અને સાદગીનો પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો છે. સેવાકીય પરંપરાના 27 વર્ષ પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં કુલ 290 નવદંપતી જોડાયા છે. આ અવસરે નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા જ્ઞાતિ મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન પદે છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવારે સેવા આપી દીકરીઓને ભેટ અર્પણ કરી હતી. ઉદારદિલ દાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરી સહિતનો સંપૂર્ણ કરિયાવર ભેટમાં આપવામાં આવ્યો હતો. જોરાવનગર સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળે 27 વર્ષમાં કુલ 290 નવદંપતીઓના સમૂહ લગ્ન કરાવી મંડળે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાષ્ટ્રીય શાયરને સ્વરાંજલિ અપાઈ:પાંચાળની પાવન ધરા પર ભક્તિ તેમજ લોક સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં પ્રારંભ થયો છે. ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓ વચ્ચે પાંચાળની ધરા ગુંજી ઉઠી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ચોટીલા ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં મોટી સંખ્યામાં ભકતો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા એ માત્ર શક્તિધામ તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હંમેશા કલાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણીફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, મેઘાણીજીના જીવન – કવન અને સાહિત્યને આધુનિક શૈલી થકી નવી પેઢીને પણ સરળતાથી આપણા ભવ્ય વારસા, દુહા - છંદ અને લોકસાહિત્યના ઇતિહાસ સાથે જોડવાનું ભગીરથ કાર્ય શક્ય બને છે. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો રજૂ કરાયો હતો, જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર અપાયા હતા.આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા મંદિર મહંત લાલબાપુએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇદ્રીશભાઈ રસુલભાઈ માણેકે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીકથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ સાહેદ હમીરભાઇને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંઓ ઉપર અંકૂશ મેળવવા અમદાવાદની એજન્સીને સર્વે કામગીરી સોંપી છે. ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 1 મહિનામાં બે ઝોન પાડી સોફ્ટવેરની મદદથી તમામ વિગતો ડિજિટલ કરશે. જેમાં શ્વાનના લીંગ, તદુરસ્તી, ખોડખાપણ અને કદ સુધીની વિગત આવી જશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આથી અમદાવાદ સ્થિત અનુભવી અને એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને.સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે. ખસીકરણ બાદ 6 દિવસ ઓબઝર્વમાં રખાશેસોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીથી ડોગની સંપૂર્ણ વિગત આવી જશે. શ્વાનનો કુલ આંકડો મળી ગયા બાદ પાંજરાની વ્યવસ્થા કરાશે. ખસીકરણ કર્યા બાદ ડોગને 6 દિવસ ઓબઝર્વમાં રખાશે. ત્યારબાદ તે વિસ્તારમાં જ મુકત કરાશે. > ભાવિકભાઇ શાહ, ગોલ ફાઉન્ડેશન બાયોડેટાાં આ વિગતો હશે મહિને 425 ડોગબાઇટના કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઘણો છે. થોડા સમયમાં પહેલાં એક સાથે 40 લોકોને કરડવાનો બનાવ બન્યો હતો. આમ દર મહિને 425થી વધુ લોકોને કૂતરાં કરડે છે.
આયોજન:અમરેલીમાં એક સપ્તાહમાં રૂપિયા 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી જિલ્લામાં તા.1 માર્ચથી 8 માર્ચ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં થયેલા આ વિકાસકાર્યોમાં શિક્ષણ, વીજળી, પીવાનું પાણી, જળસંચય-સિંચાઈ, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ તથા પુર સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં અમરેલી શહેરમાં 124 વર્ષ જૂનો ગાયકવાડી શાસનકાળમાં નિર્મિત ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવર શહેરની ઓળખ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરની શોભામાં વધારો થશે અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ પણ થશે. અમરેલી જિલ્લાના વરસડા ખાતે રૂ.42 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ગ્રામજનોને મોટી રાહત મળશે, સાથે જ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી વેકરીયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક-4 હેઠળ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના અમલમાં આવતાં 200 હેક્ટર જેટલો ખેતી વિસ્તાર નર્મદાના પાણીથી લાભાન્વિત થશે, જેના કારણે ખેતી ઉત્પાદન વધશે, અમરેલી તાલુકાના ગામડાઓમાં કરોડોના ખર્ચે નવી પ્રાથમિક શાળાઓના પણ લોકાર્પણ કરાયા છે.
સાવરકુંડલાના દાધિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો ધ્રુવીકાબેન, ઇશીતાબેન, કિજલબેન, સંજયભાઈ વિગેરેએ પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ બાળકોને માહિતી આપી હતી. શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર દ્વારા બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના બાળકોએ તૈયારી કરી શાળામાં આવી પોતાની પાસે રહેલી વેસ્ટ વસ્તુઓ માંથી મોડીફિકેશન કરી વિવિધ આકર્ષક વસ્તુઓ બનાવી હતી. છેલ્લે શિક્ષકો દ્વારા બનેલા વિવિધ પ્રોજેક્ટ માંથી સૌથી સરસ ત્રણ પ્રોજેક્ટોને નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. દાધિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિનું આયોજન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રોજબરોજના ઉપયોગ પછી ફેંકાઈ જતી વસ્તુઓમાંથી ઉપયોગી અને સુંદર વસ્તુઓ બનાવી પોતાની સર્જનાત્મકતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલ, જૂના કાગળ, કાર્ડબોર્ડ, ટીનના ડબ્બા તેમજ અન્ય વેસ્ટ સામગ્રીમાંથી પેન સ્ટેન્ડ, ફૂલદાની, રમકડાં અને વિવિધ શૈક્ષણિક મોડલ તૈયાર કરવામાં આવ્યા હતાં.
ભૂલકા પર ખતરો:વડિયા સુરગપરામાં વર્ષોથી જર્જરિત જવાહર બાલમંદિરનું બિલ્ડીંગ પડું પડું
વડીયાના સુરગપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જવાહર બાલમંદિરની ઇમારત હાલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં હજુ સુધી તોડી પાડવામાં આવી નથી. જેના કારણે નજીકમાં ચાલતી બે આંગણવાડીઓમાં આવતાં નાના બાળકો અને તેમના વાલીઓ માટે જોખમ ઊભું થયું છે. અમરેલીના વડીયા સુરગપરા વિસ્તારમાં આવેલું જવાહર બાલ મંદિરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે. સુરગપરા વિસ્તારમાં આવેલી આ ઇમારત લાંબા સમયથી ઉપયોગ વગર પડી છે અને તેની હાલત અત્યંત જર્જરિત હોવાથી દીવાલોના પોપડા ખરી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ દરરોજ આ રસ્તેથી પસાર થતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત જર્જરિત ઈમારત આસપાસ ગંદકી સર્જાય છે. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. સરપંચે જણાવ્યું હતું કે જોખમી હાલતમાં આવેલી આ ઈમારત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ આ જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આસપાસ વધતી ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.
આજે આખું ગુજરાત મેઘાણીમય છે:બગસરાની ભૂમિ ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ : મોરારિબાપુ
બગસરામાં માનસ મેઘાણી કથાના છઠ્ઠા દિવસે આખો પંથક મેઘાણીમય બન્યું હતું. આ પ્રસંગે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. મોરારિબાપુએ જણાવ્યું કે અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ એવી બગસરાની પવિત્ર ભૂમિને તેઓ પ્રણામ કરે છે. બાપુએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ રાત હશે. જ્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ ન થતું હોય, ભાગ્યે કોઈ રાત આવે ત્યારે કવિ કાગ અને દાદાનું સ્મરણ પણ જરૂર થાય છે. મેઘાણીજીના સાહિત્યનું મનોમંથન કોઈ સાધુએ કરવું જોઈએ તેવું પણ બાપુએ જણાવ્યું હતું. આજે નાનામાં નાનો માણસ પણ બગસરા તરફ નજર રાખે છે. જે દર્શાવે છે કે મેઘાણી સમગ્ર સમાજ માટે કેટલા પ્રિય છે. આજના સમયમાં આખું ગુજરાત મેઘાણીમય બન્યું છે. મેઘાણી પોતે એક એવા વિશાળ દરિયા જેવા છે જે દરિયાની અંદરથી મીઠી મીઠી વીરડી શોધી સમાજ સુધી પહોંચાડી છે.
આમ તો અમરેલી જિલ્લામાં રસ્તા પુલ અને મકાનના કામો તદન નબળા થઈ રહ્યા છે. પરંતુ સાવરકુંડલાના બાઢડામાં હદ તો એ વાતની થઈ કે પરા વિસ્તાર સાથે જોડતો પુલ બન્યાના 10 જ દિવસમાં ધરાશાયી થયો છે. આ માટે જવાબદારો સામે પગલાંની માંગ ગામ લોકોએ ઉઠાવી છે. સાવરકુંડલાના બાઢડામાં લામધારી નદી પર ગ્રામ પંચાયત હસ્તક રૂપિયા 5,00000ના ખર્ચે પરા વિસ્તારને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલનું કામ 10 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું. પરંતુ આટલા દિવસોમાં આજે આ પુલ અચાનક તુટી પડ્યો હતો. પુલ પાસે માટી કામ કરવામાં આવતું હતું. ત્યારે તે બેસી ગયો હતો. ગામ લોકોનો આક્ષેપ છે કે પુલ બનાવતી વખતે તદન નબળી કક્ષાનું મટીરીયરલ વપરાયું હતું. સ્થાનિક લોકોને અવરજવર માટે આ પુલ ઉપયોગી હતી. પરંતુ 5 લાખનો ખર્ચ પાણીમાં ગયો હતો. જવાબદારો સામે પગલાં લેવા માંગ પુલનું કામ ખુબજ નબળું થયું છે. માટીનું કામ ચાલુ હતું. ત્યાં જ પુલ બેસી ગયો છે. કામમાં માત્ર ભુકી વાપરવામાં આવી છે અને આઠ એમએમનું લોખંડ વપરાયું છે. જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ. > ગોવિંદભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડિયા ખાતે 1000 સિલિન્ડરનું બુકીંગ, પણ આવ્યા માત્ર 300: ગેસ એજન્સી પર ધસારો
યુદ્ધની પરિસ્થિતિના કારણે રાંધણ ગેસ સીલીન્ડરની વ્યવસ્થા ખોરવાશે તેવી આશંકાએ જિલ્લાભરમાં લોકોએ બુકીંગ કરાવવા પડાપડી કરી છે. વડીયામાં 1000ના વેઈટીંગ સામે માત્ર 300 સીલીન્ડર આવતા ગેસ એજન્સી પર આજે ભારે ધસારો જોવા મળ્યો હતો. દેશની સરકારથી લઈને અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ રાંધણ ગેસના સીલીન્ડરની કોઈ અછત નહી હોવાનું કહેતું હોવા છતાં લોકોમાં ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવવા માટે પડાપડી જોવા મળી રહી છે. સરકારે હવે એલપીજીનું બુકીંગ 21 દિવસના બદલે 30 દિવસે કરવાનું નક્કી કર્યું છે. મોટી સંખ્યામાં લોકો એકથી વધુ સીલીન્ડર ધરાવે છે અને ઘરના ચાલુ વપરાશના સીલીન્ડરમાં 10 થી 15 દિવસ ચાલે તેટલો ગેસ પડ્યો હોવા છતાં સાવચેતી ખાતર ઘરમાં ખાલી પડેલા સીલીન્ડરોનું બુકીંગ પણ કરાવી રહ્યા છે. હાલમાં અછત નથી. પણ આવનારા સમયમાં અછત થઈ શકે છે તેવા વિચારે એડવાન્સમાં બુકીંગ કરાવાઈ રહ્યું છે. જો કે તેના કારણે ઓનલાઈન બુકીંગ માટેનું સર્વર ધીમું ચાલી રહ્યું છે અને લોકોને સીલીન્ડર બુક કરાવવામાં રાહ જોવી પડી રહી છે અને અન્ય અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વધુ પડતા બુકીંગના કારણે મોટું વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. વડીયામાં પણ આવું જ થયું છે. અહીં 1000 લોકોએ ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવ્યું છે. જેની સામે આજે ગેસની માત્ર એક જ ગાડી આવી હતી. માત્ર 300 સીલીન્ડર ઉપરથી આવતા વડીયા ગેસ એજન્સી પર લોકોએ ધસારો કરી મુક્યો હતો. અહીં કલાકો સુધી લાંબી લાઈન જોવા મળી હતી. મામલતદાર કચેરી ખાતે પણ લોકો રજૂઆત કરવા દોડી ગયા હતા. બીજી તરફ લીલીયામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિજયભાઈ વિરાણી, રાજુભાઈ ગરણીયા વિગેરે અહીંની ગેસ એજન્સી ખાતે દોડી ગયા હતા અને સીલીન્ડરનું નિરીક્ષણ કરી ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળા સીલીન્ડર અપાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીં પણ રજીસ્ટ્રેશન માટે સર્વર ધીમું ચાલી રહ્યું છે. આપના કાર્યકરો આ મુદ્દે રજૂઆત કરવા માટે લોકો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા. સીએનજી, પાઈપલાઈન મારફત ગેસ વિતરણમાં કોઈ અવરોધ નહીઅમરેલી શહેરના ઘણાખરા વિસ્તારમાં લોકોને પાઈપલાઈન મારફત ઘરે ઘરે ગેસ કનેકશન અપાયા છે. આ ગેસ વિતરણમાં હાલમાં તબક્કે કોઈ અવરોધ નથી. આવી જ રીતે વાહનો માટેના સીએનજીનું વિતરણ પણ નિયમીત થઈ રહ્યું છે. લીલીયા મામલતદારે તપાસની ખાતરી આપી આમ આદમી પાર્ટના કાર્યકરોએ અહીની એજન્સીમાં એક્સપાયરી ડેટ વાળા સીલીન્ડર અપાતા હોવાની રજૂઆત કરતા લીલીયાના મામલતદારે આ મુદ્દે આવતીકાલે તપાસ કરવાની ખાતરી આપી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:સાવરકુંડલાને હવે રોજ 8 એમએલડી પાણી શેલ દેદુમલ ડેમમાંથી મળશે
સાવરકુંડલા શહેર નજીક તાલુકાના હાથસણી ગામે આવેલ શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું 80 લાખ લિટર પાણી પીવાના ઉપયોગ માટે મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સાવરકુંડલાને કાયમી પાણીનો સ્ત્રોત મળી રહેશે. રૂપીયા 10.31 કરોડના ખર્ચે શહેર માટે પાણી શહેર અનામત રાખવાનો નિર્ણય સરકારે કર્યો હતો. સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સતત રજૂઆતોને સફળતા મળી હતી અને સાવર અને કુંડલા વિભાગને દરરોજ આઠ MLD એટલે 80 લાખ લિટર પીવાનું શુધ્ધ પાણી શેલ દેદુમલ ડેમમાંથી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી શહેરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શહેરીજનો મળશે. આ નિર્ણયના પરિણામે એક હજાર ફૂટ ઊંડા ક્ષારયુક્ત પાણીથી મુક્તિ મળશે અને ઘરે ઘરે લોકોને શુદ્ધ જળ નાગરિકો મળશે. સાવરકુંડલા શહેરમાં અત્યાર સુધી એક હજાર ફૂટ ઊંડા બોરના હાઈ TDS ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર હતા. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. પાણીએ જનતાની પાયાની જરૂરિયાતને સમજીને ડેમનું શુદ્ધ પાણી અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે હવે નાગરિકોને ગુણવત્તા યુક્ત પાણી ઉપલબ્ધ થશે. પાણીની અછત હવે સાવરકુંડલા માટે ભૂતકાળ બનશે. દર વર્ષે ઉનાળો આવતા જ સાવરકુંડલામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતી હતી. તેનું હવે કાયમી નિરાકરણ આવ્યું છે. પાણી અનામત રાખવા નિર્ણયસાવરકુંડલા માટે વાર્ષિક 292 કરોડ લિટર પાણીના જથ્થાને અનામત રાખવાના નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બોર યોજનાનું પાણી તો મળતું જ રહેશે.
આયોજન:અમરેલીમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ તાલીમ અપાશે
અમરેલીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરાર યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ MOU અંતર્ગત અમરેલી જિલ્લાના મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, યોગ્ય પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય માર્કેટીંગ કૌશલ્ય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વ્યવહારૂ તાલીમ અપાઇ હતી. કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલી એક સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ છે. મહિલા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી સાથે માર્કેટીંગ કૌશલ્ય પણ વિકસાવે છે. ત્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી શકે છે. FWWB સાથેનો આ સહયોગ મહિલા ખેડૂતોને સફળ કૃષિ ઉદ્યમી તરીકે વિકસવામાં મદદરૂપ બનશે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બે વર્ષ પહેલાં બનેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટનામાં રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને તકસીરવાર ઠેરવી 20-20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. ઘટનાની વિગતો મુજબ, સાગબારા તાલુકાના ગૌતમ વસાવા અને રમેશ વસંત ઉર્ફે વિશાલ વસાવાએ ગત 16 માર્ચ 2022 ના રોજ સાંજના સમયે ભોગ બનનાર સગીરા જ્યારે તેના ઘરમાં એકલી હતી. ત્યારે બંને આરોપીઓએ તેનું મોઢું દબાવી, શારીરિક છેડછાડ કરી હતી અને તેને સળગાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ બંને નરાધમોએ તેના પર સામુહિક દુષ્કર્મ કર્યું હતું. સામુહિક દુષ્કર્મ કર્યા બાદ બંનેએ અમે ડોન છીએ. જો આ બાબતે તેં કોઈને પણ વાત કરી તો તારું ઘર સળગાવી દઈશું. આ મામલે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ રાજપીપળાના એડિશનલ સેસન્સ જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જિતેન્દ્રસિંહ ગોહિલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ગૌતમ વસાવા અને રમેશ વસાવાને 20 વર્ષની કેદની સજા સાથે બંને આરોપીઓને રૂ. 70-70 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં સગીરાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહયાં છે. રાજપીપળાની કોર્ટે સામુહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ગુનેગાર આલમમાં ફફડાટ જોવા મળી રહયો છે.
SOGએ 1.46 લાખના મુદ્દામાલ સાથે 1ને પકડ્યો:વલસાડમાં મોપેડની ડિકીમાંથી 1.220 કિલો ગ્રામ ગાંજો કબજે
વલસાડમાં મોપેડની ડિકીમાં ગાંજા લઈને ફરતા આરોપીને પકડી પાડી એસઓજીએ કુલ રૂ. 1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપાઇ છે. વલસાડ જિલ્લામાં એનડીપીએસના ગુનામાં આરોપીઓને પકડવા રેન્જ આઇજી અને જિલ્લા એસપીની સુચના મુજબ એસઓજી પીઆઇ એ. યુ. રોઝ અને તેમની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન પારનેરા ગામ ટેકરા ફળિયા મુસ્લિમ સુન્નત જમાત કબ્રસ્તાનની બાજુમાંથી આરોપી કયુમ બાઉદ્દીન કુરેશી ઉ.વ. 29 રહે. પારનેરા ને તેના કબજાની સુઝુકી અવેનીસ મોપેડ નં. જીજે-15-ઇએ-4685 કિં. રૂ. 80,000ની ડિકીમાંથી ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો 1.220 કિલોગ્રામ કિં. રૂ. 61,000 અને એક ફોન કિં. રૂ. 5000 મળી કુલ રૂ. 1,46,000ના મુદ્દામાલ સાથે પકડી આરોપી સામે એનડીપીએસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.
ટેમ્પો પલટતા સર્જાયો અકસ્માત:દમણમાં ઓવરલોડ ટેમ્પો પલટતા પોલીસ હેડક્વાર્ટરની દીવાલ તૂટી
દમણના એરપોર્ટ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર સામે ગુરૂવારે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ કેબલના રોલ ભરેલો આઇશર ટેમ્પો અચાનક કાબૂ બહાર જઈ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે અથડાઇને પલટી ગયો હતો. પોલીકેબ કંપનીમાંથી કેબલના ભારે રોલ ભરેલો આઇશર ટેમ્પો નંબર DD01 Z 9501 મશાલ ચોક તરફ જઈ રહ્યો હતો. એરપોર્ટ રોડ પર આવેલા લાંબા વળાંક પાસે પહોંચતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પામાં ક્ષમતા કરતાં વધુ વજનદાર કેબલ રોલ ભરેલા હોવાથી ચાલક વળાંક સુરક્ષિત રીતે કાપી શક્યો નહોતો. પરિણામે ટેમ્પાનો પાછળનો ભાગ પોલીસ હેડક્વાર્ટરની કમ્પાઉન્ડ દીવાલ સાથે જોરદાર રીતે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો માર્ગ પર જ ગોથું ખાઈને ઊંધો વળી ગયો હતો. અકસ્માતના કારણે ટેમ્પામાં ભરેલા ભારે કેબલના રોલ રસ્તા પર નીચે ખાબકી ગયા હતા. અકસ્માતમાં પોલીસ હેડક્વાર્ટરની દીવાલનો ભાગ ધરાશાયી થતાં નોંધપાત્ર નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ રહી કે આ ગંભીર અકસ્માત હોવા છતાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. તેને હાથ-પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસ કાફલો પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પલટી ગયેલા ટેમ્માંથી રસ્તા પર પડેલા કેબલના રોલને હટાવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય કરી હતી.
વલસાડની દીકરી અને પારડીની સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેએ ચંડીગઢ ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા દિવસની આનાથી શ્રેષ્ઠ ઉજવણી બીજી કઈ હોઈ શકે? ગુજરાત રાજ્ય સેક્રેટરિયેટ વતી પ્રતિનિધિત્વ કરતા તેમણે આ રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા પાછળ તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ આહારશૈલી અને વલસાડના ટ્રેનર રોન આલ્મેડાનું વૈજ્ઞાનિક માર્ગદર્શન રહેલું છે. મેઘા પાંડેની આ સફરમાં તેમના પતિ પ્રજ્ઞેશ પાંડે મજબૂત આધારસ્તંભ બનીને સાથે રહ્યા છે. ઘર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પણ પતિ-પત્નીના સુંદર તાલમેલથી તેમણે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડની પારડી સાંઢપોર શાળાના મુખ્ય શિક્ષક કિર્તેશભાઈ ગોહિલ અને સમગ્ર શિક્ષકગણે તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેની આ સફળતા સાબિત કરે છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉંમરના કોઈપણ તબક્કે સપના સાકાર કરી શકાય છે.
ફુલ મેજોરિટી ધરાવતી ભાજપ શાસિત વલસાડ પાલિકામાં બે ત્રણ જૂથ પડી જતાં છાશવારે ટકરાવની સ્થિતિ સામે આવી રહી છે.હાલમાં પ્રમુખ સામે કેટલાક સભ્યોનો ભારે વિરોધ છે. ગુરૂવારે બજેટ માટે પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં વિરોધી જૂથના ભાજપી સભ્યોનો ઉગ્ર રીતે ખુલ્લો બળવો બહાર આવ્યો હતો. ડોર ટુ ડોર કામગીરી માટે નિમણૂંક થયેલી નવી એજન્સીએ 8 દિવસ પહેલા ચાર્જ લીધાં છતાં સફાઇની કામગીરી ઠેકાણે નહિ પડવાનો મુદ્દો ઉઠાવી પ્રમુખ માલતી ટંડેલને પ્રશ્નો ઉઠાવી તેમના વિરોધીજૂથના સભ્યોએ મોરચો માડ્યો હતો. કામો ન થાય તો લોકોને શું જવાબ આપવા તે સવાલ પ્રમુખ સામે ઉઠાવ્યો હતો. પ્રમુખ મોડા પડતાં બજેટની સભાના સંચાલન માટે એક સભ્યએ અગાઉ પ્રમુખપદના દાવેદાર રહી ચૂકેલા મહિલા સભ્ય જેસ્ટિકા પટેલની અધ્યક્ષ તરીકે નામ જાહેર કરી દેતાં ઘણાં સભ્યોએ સમર્થન આપ્યું હતું. સભામાં શહેરના વોર્ડમાંથી કચરો ઉઠાવવા માટેની ડોર ટુ ડોર કામગીરી કેમ થતી નથી અને વોર્ડ નં.2માં રસ્તા સહિતના કામો કેમ થતાં નથી તેવા પ્રશ્નો નિતેશવશી, જ્યોત્સાના રાઠોડ, ઉર્વશી પટેલ,સોનલ પટેલ, હિતેશ પટેલ વિગેરે સભ્યોએ ઉઠાવી સફાઇ એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા પ્રમુખ અને સીઓ પર પસ્તાળ પાડી હતી. જો કે સીઓએ સભ્યોને જવાબો આપી સમજ આપી હતી. સફાઇના મુદ્દે સભા ગરમાઇ હતી. પાલિકાનું 1974થી નહેરના પાણીના બિલનું દેવુંપાલિકાની સામાન્ય સભામાં પાણીની સુવિધાની ચર્ચામાં અમિત દેસાઇએ પ્રમુખને સવાલ કર્યો હતો કે,પાલિકાનું પાણીનું દેવું કેટલું છે. તેનો જવાબ આપતાં કાર્તિક દેસાઇએ જણાવ્યું કે,1974થી આ બિલની બાકી રકમનું બિલ બાકી ચાલતું આવેલું છે.જેમાં વ્યાજની રકમ દર માસે ઉમેરાતી આવી હતી.જેના કારણે મોટાભાગની રકમ ચઢતા રહેતાં ચક્રવર્તી વ્યાજનું ભારણ છે.વર્ષોથી નહેર વિભાગના પાણીના બિલ પાલિકા ભરવા સક્ષમ નથી તેવું સામે આવી રહ્યું છે.સી્ઓએ કહ્યું કે,આ મામલો સરકારની નિતી વિષયક બાબતનો છે. સફાઇનો મુદ્દો ગાજ્યો સભામાં નિતેશ વશીએ સફાઇ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ સાથે મુદ્દો ઉઠાવી પ્રમુખને સવાલોના ઘેરામાં મૂકી દીધાં હતા. શહેરમાં નવી એજન્સી આવી પરંતું કચરાના ઢગલાં ઘણી્ જગ્યાએ જોવા મળી રહ્યા છે.તેની પાસે વાહનોની સુવિધા નથી, અગાઉ જે સફાઇની કામગીરી વાર્ષિક રૂ.1.70 કરોડમાં થતી હતી પરંતુ નવી એજન્સીને ડબલ પૈસા આપી 4.50 કરોડના ટેન્ડરથી કામગીરી સોંપવામાંઆવી છે પ્રમુખના પ્રશ્નને COનો જવાબ નથી માગ્યોવલસાડ પાલિકાની સભામાં નવી એજન્સી પાસેસફાઇના વાહનો કેટલા સાધનો છે પ્રમુખને પ્રશ્નકર્યો હતો ત્યારે સીઓને વચ્ચે પડી તેનો જવાબઆપવા જતાં સભ્ય નિતેશ વશીએ કહ્યું કે, સીઓનહિ, મારો પ્રશ્ન પ્રમુખને છે,પ્રમુખ જવાબઆપે.વશી દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા મુદ્દેછેવટે સીઓએ જવાબ આપ્યો હતો.
ધૂળ અને ખાડાથી વાહનચાલકો પરેશાન:નવસારીમાં નવી લાઇન તો નંખાઈ, પણ રોડ બનાવવાનું મુહૂર્ત ક્યારે?
નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવી લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હવે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. તંત્ર દ્વારા લાઇન નાખવા માટે માર્ગો તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ પૂરું થયા બાદ તેને યોગ્ય રીતે પૂર્વવત કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અતિ વ્યસ્ત એવા વિરાવળથી ટાટા બોયઝ સ્કૂલ અને વિજલપોરના શિવાજી ચોકથી સરદાર ચોક સુધીના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખોદકામ બાદ માર્ગો પર પડેલી માટીને કારણે સતત ધૂળની ડમરીઓ ઊડે છે, જેનાથી વાહનચાલકોની દ્રશ્યતા ઘટે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અનેક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દિવસો સુધી રસ્તા બનાવવામાં આવતા નથી. કેટલીક જગ્યાએ કામની ગતિ એટલી ધીમી છે કે મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ જેવા છે. સૌથી વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં પણ રિપેરીંગની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ખોદાયેલા ખાડાઓ અને અધૂરા રસ્તાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન અત્યારે નવસારીના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
વાંસદાના નાની વાલઝર ગામે બનેલી ઘટના:આંબાવાડીમાં લગાવેલ ડ્રીપ ઇરીગેશનના પાઇપની ચોરી
વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે આંબાવાડીમાંથી ચોરટાઓ ડ્રીપ ઇરીગેશન પાઈપની ચોરી કરી જતા વાંસદા પોલીસ મથકે વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે તસ્કરોએ હવે ખેતીકામના સાધનોને નિશાન બનાવવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. નાની વાલઝર પટેલવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતિલાલ પાટીદારની માલિકીની આંબાવાડીમાં સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશનની સુવિધા કરવામાં આવી હતી. ગત 9 માર્ચના રોજ રાત્રિ દરમિયાન ચોરટાઓએ આ વાડીમાં પ્રવેશી પાઈપની ચોરી કરી હતી. ચોરાયેલા આ પાઈપની અંદાજિત કિંમત રૂ. 6,000 જેટલી થાય છે. સવારે જ્યારે વાડી માલિક ખેતરે પહોંચ્યા ત્યારે પાઈપ ગાયબ હોવાનું જણાતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પ્રવીણભાઈએ તાત્કાલિક વાંસદા પોલીસ મથકે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે. ખેતરોમાંથી થતી આવી નાની-મોટી ચોરીઓને પગલે સ્થાનિક ખેડૂતોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાઇપ લાઇનની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે ત્યારે તંત્ર તે દિશામાં કામગીરી કરે તે જરૂરી જણાય છે.
વિજલપોર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ જાણે સ્થાનિકો માટે અભિશાપ બની ગયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલું આ કામ પૂર્ણ થવાનું નામ લેતું નથી, જેના પરિણામે હજારો નાગરિકો દૈનિક ધોરણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને નેતાઓની ઈચ્છાશક્તિના અભાવે આ પ્રોજેક્ટ વિલંબનો પર્યાય બની ગયો છે. હાલ નવસારીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. આ કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે વાહનચાલકોની લાંબી કતારો લાગે છે. ધગધગતા ડામર અને ઉપરથી વરસતા સૂર્યના તાપમાં લોકોએ કલાકો સુધી ફાટક ખુલવાની રાહ જોવી પડે છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે આ સ્થિતિ અસહ્ય બની છે. માત્ર બ્રિજ જ નહીં, પણ તેની આસપાસના અને નીચેના માર્ગોની દશા પણ અત્યંત દયનીય છે. મોટા ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈપણ અધિકારી સ્થળ મુલાકાત લેવાની તસ્દી લેતા નથી. સ્થાનિક નેતાઓ માત્ર આશ્વાસનો આપી રહ્યા છે. રસ્તાના સમારકામ માટે કરવામાં આવતી રજૂઆતો બહેરા કાને અથડાઈ રહી છે.
નવસારી શહેરમાં જાહેરમાં ફ્રૂટ ખરીદવા બાબતે થયેલી સામાન્ય રકઝક ઉગ્ર બની હતી અને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ચપ્પુ અને પથ્થરબાજી થતાં ત્રણથી વધુ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. નવસારી ટાઉન પોલીસે આ મામલે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં ફરિયાદી સાદીકખાન સાબીરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ સલમાન અને સંબંધી ફારૂક ફ્રૂટ વિક્રેતા અઝમત ઝાયેદઅલીની લારી પર ફ્રૂટ ખરીદવા ગયા હતા. ફ્રૂટના ભાવ બાબતે બોલાચાલી થતા આરોપી અજમતે તેના મિત્રોને બોલાવી પથ્થર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફારૂકને માથામાં ગંભીર ઇજા થતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સાદીકખાન અને સલમાનને પણ માથાના ભાગે ટાંકા આવ્યા છે. સામે પક્ષે ફ્રૂટ વિક્રેતા અઝમતઅલી ઝાયેદઅલી ખાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફારૂક શેખ અને સલમાન ખાન ફ્રૂટ લેવા આવ્યા ત્યારે ભાવ બાબતે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન સાદીકખાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયે ભેગા મળી વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં વેપારી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. નવસારી ટાઉન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મનપા એક્શન મોડમાં:નવસારીમાં વેરો ન ભરતા 45 મિલકત સીલ કરાઇ
નવસારી મનપાએ શહેરમાં એક જ દિવસમાં વેરા બાકી મુદ્દે 45 જેટલી મિલકતો સીલ કરી હતી. વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે 20 દિવસ પણ બાકી રહ્યાં નથી ત્યારે મહાનગરપાલિકાએ વેરા વસૂલાત કડક શરૂ કરી છે. ગુરુવારે તો અગાઉના વર્ષોની વધુ બાકી મુદ્દે કડકાઈ દાખવી એક જ દિવસમાં 45 જેટલી મિલકતો સીલ કરી દીધી હતી. આ મિલકતોમાં દુધિયા તળાવ શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલી દુકાનો વધુ હતી. ઉપરાંત વોર્ડ-13ની પણ અનેક મિલકતો હતી. શોપિંગ સેન્ટરમાં તો સ્થળ ઉપર જ લાખો રૂપિયાની વસૂલાત કરાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે જે છેલ્લા કેટલાક દિવસોમાં મનપાએ શહેરમાં વધુ વેરા બાકી મુદ્દે 350 જેટલી મિલકતો સીલ કરી છે. મનપા સૂત્રોએ દાવો કર્યો કે હાલ સુધીમાં વર્તમાન નાણાંકીય વર્ષની 77 ટકા વેરા વસૂલાત થઈ ગઈ છે, જે નાણાંકીય વર્ષ પૂર્ણ થતા 80 ટકાથી વધુ થશે.
ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 1937નો ઘટાડો
નવસારી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત 1330 આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરાયેલા પ્રયાસોના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. રાજ્ય સરકારના પોષણ અભિયાન અને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, માર્ચ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન બાળકોના પોષણ સ્તરમાં મોટો સુધારો થયો છે. જેમાં અતિ ગંભીર કુપોષિત બાળકોની વાત કરીએ તો માર્ચ 2025માં બાળકોનું પ્રમાણ 1.56% હતું, જે ફેબ્રુઆરી 2026માં ઘટીને માત્ર 0.48 % થઈ ગયું છે. તો મધ્યમ કુપોષિત બાળકોની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026 સુધીમાં MAM બાળકોનું પ્રમાણ 6.4% થી ઘટીને 2.68% પર આવી ગયું છે. આમ, એક વર્ષ પહેલાં જ્યાં કુલ 5763 બાળકો કુપોષણની શ્રેણીમાં હતા, તે સંખ્યા હવે ઘટીને 3826 થઈ ગઈ છે. બાળકના જીવનના પ્રથમ 1000 દિવસ અત્યંત મહત્વના હોય છે. આ સમયગાળા દરમિયાન આંગણવાડી કેન્દ્રો પરથી યોગ્ય અને પૂરક પોષણ પૂરું પાડવામાં આવ્યું, અતિ ગંભીર કુપોષિત બાળકો માટે C-MAM (સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ અમલી બનાવ્યો અને જરૂરિયાત મુજબ બાળકોને સીએમટીસી અને એનઆરસી કેન્દ્રો પર સારવાર આપી પોષિત કરવાના પ્રયાસો હાથ ધરાયા. આ પગલાંને કારણે બાળકોના પોષણ સ્તરમાં મોટો સુધારો થયો છે. આંગણવાડીઓમાં ‘મંગળવાર’ બન્યો પોષણનો વાર કુપોષણ સામેની લડાઈમાં સામાજિક સહભાગીદારી વધારવા માટે દર મંગળવારે આંગણવાડીઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ (ગોદ ભરાઈ), બીજા મંગળવારે બાળતુલા (વજન-ઊંચાઈ માપણી), ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને ચોથા મંગળવારે પૂર્ણા દિવસ ઉજવીને કિશોરીઓ અને માતાઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના સચોટ આયોજનથી નવસારી જિલ્લો ‘સુપોષિત’ બનવા તરફનવસારી જિલ્લામાં હાલ 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને વિવિધ સરકારી યોજનાનો લાભ આંગણવાડી કેન્દ્રો દ્વારા સીધો મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના આ સચોટ આયોજનને કારણે નવસારી હવે સુપોષિત જિલ્લા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.> કોમલબેન ઠાકોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ., નવસારી
ભાસ્કર એક્સક્લુસિવ:જીવાતથી ફ્લાવરિંગ, કણીની અવસ્થાએ નુકસાની, વળી અતિશય ગરમીથી બાજી વધુ બગડી
નવસારી જિલ્લામાં ચાલુ સાલ કેરીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ ખુબ વધતા અનેક વિસ્તારોમાં પાક ખૂબ ઓછો ઉતરશે એવી જાણકારી બહાર આવી છે. જીવાત સાથે માર્ચના પ્રથમ પખવાડિયામાં જ પડતી ભારે ગરમી પણ પાક ઉપર અસર કરશે. નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને કેરીનો છે. જિલ્લામાં 35 હજાર હેક્ટરમાં કેરીનું પ્લાન્ટેશન છે. છેલ્લા 15 થી 20 વર્ષમાં પ્લાન્ટેશનમાં ભારે વધારો થયો છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી વાવાઝોડું, કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ, જીવાત જેવા કારણોથી પાક ખૂબ ઓછો ઉતરી રહ્યો છે. જીવાતમાં થ્રીપ્સ નામની જીવાત જોવા તો મળી રહી હતી પણ ચાલુ સાલ આ જીવાત ખુબ વધુ પાકમાં ફેલાઈ હોવાની જાણકારી બહાર આવી છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાત વધી હતી, જેના કારણે કરોડો રૂપિયાના કેરીના પાક ઉપર ખતરો પેદા થયો છે. થ્રીપ્સ સાથે કેટલીક જગ્યાએ ઇયળ પણ પાકમાં નજરે પડી રહી છે. જ્યાં જીવાતને લઈ કેરીના પાક ઉપર વિપરીત અસર પડી છે ત્યાં હાલ માર્ચના પ્રથમ પખવાડિયાના જ રેકર્ડબ્રેક તાપમાન ઉપર જઈ ગરમી પડતા સનસ્ટ્રોક પણ પાક ઉપર હાલના તબક્કે વિપરીત અસર પાડી રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ચીકુ જેવા કલરની કેરી થાય છે અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાત વધુ છે અને તેના કારણે નુકસાની છે, કેરી ચીકુ જેવા કલરની પણ થાય છે. વધુમાં અતિશય ગરમી જે પડી રહી છે તેના કારણે કેરીમાં પીળા ડાઘા પણ પડી રહ્યા છે. > સંજય નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા ફેબ્રુઆરી મધ્ય બાદ ઉપદ્રવ વધ્યોચાલુ સાલ અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ વધેલો જોવા મળે છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કેરીના પાકને નુકસાની છે પણ ચોક્કસ કેટલી તે કહીં શકાય નહીં. >દિનેશ પડાલીયા, બાગાયત અધિકારી છેલ્લા 3-4 વર્ષથી પાકમાં નુકસાનને લઇ ખેડૂતોમાં હવે પુનર્વિચાર નવસારી જિલ્લામાં આજથી 20 વર્ષ અગાઉ કેરીનું પ્લાન્ટેશન પ્રમાણમાં ઓછું હતું. ડાંગરનું વધુ હતું પણ લેબરની તથા સમયની પણ ઓછી જરૂર સાથે આવક પણ સારી મળવાની આશાએ હજારો ખેડૂતો કેરીની ખેતી ભણી વળ્યા અને વાવેતરમાં ખૂબ વધારો થયો. આમ તો અગાઉના અનેક વર્ષોમાં ખેડૂતોને સારું વળતર મળ્યું પણ હતું. જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષે સ્થિતિ બદલી છે. જીવાત, બદલાતા સતત વાતાવરણ, પ્રદુષણ વગેરે કારણોને લઇ ખેડૂતોના મોટા વર્ગને ખાસ આવક મળી નથી. આ સ્થિતિમાં ખેડૂતો આ પાક માટે પુનર્વિચાર શરૂ કર્યો છે. ભાસ્કર નોલેજફૂલથી ફળ આવવા તબક્કામાં જીવાત નિયંત્રણ માટે આટલું કરવુંફૂલોથી ફળ આવવાના તબક્કા દરમિયાન થ્રીપ્સનું ઉપદ્રવ વધારે જોવા મળે છે. થ્રીપ્સના બચ્ચા અને પુખ્ત કીટકો નાની કુમળી પીલવણી, મોર ઉપરના ફૂલો, અને ફળધારણ થયેલ કુમળા ફળોમાંથી રસ ચૂસે છે જેના પરિણામે પાંદડાની કિનારીઓ ઉપર તરફ વળાંક લે છે, વૃદ્ધિ અટકે છે, ફુલ ખરીને મોર સુકાઇ જાય છે અને ફળની સપાટી ચીકુના કલર જેવા ડાઘા જોવા મળે છે, જેના કારણે અકાળે ફળ ખરી પડે છે. થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે બુફ્રોફેઝિન 25 ઈસી, 2 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 ડબલ્યુજી, 0.3 ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઈસી 1 મિલી અથવા ટોલ્ફેનપાયરીડ 15 ઈસી 2 મિલી સાથે નીમ ઓઈલ 1500 પીપીએમ 1 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવું. (કૃષિ યુનિ.ના તજજ્ઞ દ્વારા કરાયેલ ભલામણ)
ચોરીનો મામલો આવ્યો સામે:દહેજની માધવ ઇન્ડસ્ટ્રિઝમાંથી 2.66 લાખના મટિરિયલની ચોરી
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી અજાણ્યા ચોરોએ આશરે રૂ. 2.66 લાખના સ્ટેઇનલેસ સ્ટીલ સહિત અન્ય મટીરીયલની ચોરી કરી જતા દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાવ ગામની સીમમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં ખુલ્લી જગ્યાએ ફેબ્રિકેશન માટે રાખવામાં આવેલ મટીરીયલ ગાયબ થયાનું સામે આવ્યું છે. કંપનીમાં પ્લાન્ટના ફેબ્રિકેશન અને બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી વિવિધ કોન્ટ્રાક્ટરો માટે એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, રેડ્યુસર અને વેલ્ડિંગ કેબલ સહિતનું મટીરીયલ કેન્ટીન પાસે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. 9 માર્ચની રાત્રે મટીરીયલ સ્થળ પર હતું, પરંતુ 10 માર્ચની સવારે કામદારો કામે આવ્યા ત્યારે મટીરીયલ ગાયબ હોવાનું જાણવા મળ્યું. તપાસ કરતા ચાર ઇંચ તથા છ ઇંચના એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, 50 મીટર વેલ્ડિંગ કેબલ અને રેડ્યુસર સહિત કુલ રૂ. 2,66,400 જેટલા મટીરીયલની ચોરી થયાનું સામે આવ્યું હતું.
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે શાર્પ પેટ્રોકેમ નામની કંપની આવેલી છે. જેમાં જાણવા મળ્યા મુજબ પેટ્રો પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. સાથે સાથે વિવિધ ક્રૂડનું ડિસ્ટિલેશન પણ થાય છે. હાલ આ કંપની બંધ હાલતમાં છે. પરંતુ કંપનીમાં વિવિધ રસાયણો કેમિકલોના બેરલો ટાંકીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સવારના સમયે કંપનીમાં કોઇ ઉત્પાદનની પ્રક્રિયા વેળાએ ગેસ લીકેજ થયો હતો. તેના પગલે આજુબાજુના એકમમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા તેમજ ચચરાટ થતો હોવાનું જોવા મળ્યું હતું. બનાવના પગલે કંપનીમાં હાજર કામદારોએ પ્રાથમિક રીતે પાણી રેતી કોથળા નાખીને ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કર્યા હતા. બનાવના પગલે મંજુસર પોલીસને જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બનાવ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીપીસીબીનો સંપર્ક કરીને તેમને પણ કંપની ખાતે બોલાવ્યા હતા ત્રણેય વિભાગોએ ગેસ લીકેજનું મુખ્ય કારણ તેમજ કંપનીમાં વપરાતા કેમિકલો મુદ્દે તપાસ હાથ ધરી હતી. બાદ સાંજે ચાર વાગ્યે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ફરી એકવાર આ કંપની શંકાના દાયરામાં આવી છે. આ આગ લાગી હોવા છતાં કંપનીના માલિકો અહીં ફરકયા પણ ન હતા અને માત્ર કામદારો હાજર હતા. તેઓ કંઈ બોલવા તૈયાર ન હતા. મંજુસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. જીપીસીબીના દફતરે બંધ હોવા છતાં કંપની રાત્રે ધમધમતાં આશ્ચર્ય સાવલીના લસુન્દ્રા રોડ પર આવેલ શાર્પ પેટ્રોકેમ કંપની જીપીસીબી વિભાગના દફતરે બંધ છે. છતાં આશ્ચર્યજનક રીતે આ કંપની રાત્રે ધમધમતી હતી અને વિવિધ કેમિકલો સ્ટોર થતા હતા. તેમ છતાંય તંત્રનું ધ્યાન ગયું ન હતું. અને વારે ઘડીએ ગેસ લીકેજ અને આગના બનાવો બનતા રહે છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. બંધ હાલતમાં રહેલી કંપનીમાં સ્ફોટક કેમિકલ્સનો જથ્થો તપાસનો વિષય છેકંપની બંધ હાલતમાં છે અને આટલો મોટો જથ્થો કેવી રીતે સ્ટોર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ સવારમાં ગેસ લીકેજ થયો હતો અને સાંજે આગ લાગી હતી. તેવો સરપંચ દ્વારા ફોન કરવામાં આવતાં અમે અહીંયા આવીને તપાસ કરતાં સોલ્વન્ટ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. > આર એમ પટેલ, ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કંપનીમાં બે વર્ષ પહેલાં પણ ગેસ લીકેજ થતાંગામને ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતોબે વર્ષ અગાઉ પણ આ કંપનીમાં રાત્રિના સમયે ગેસ લીકેજ થયો હતો. તેના પગલેઆજુબાજુની કંપનીઓના કામદારોને છોડી મૂકવામાં આવ્યા હતા. જો ગેસ પર કાબૂ નામેળવી શક્યા હોત તો લસુન્દ્રા ગામને ખાલી કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવાયોહતો. મોટા પ્રમાણમાં સ્ફોટક કેમિકલો આ કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જો તંત્રદ્વારા તટસ્થ તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ બાહર આવે તેમ છે. આ કેમિકલોનાબેરલો સ્ટોર કરવા માટેની પરમિશન છે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.
પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠકનું આયોજન:ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની નવી ટીમની પરિચય બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચનામાં મોટા નેતાઓના માનીતાઓના પત્તા કાપી નાખવામાં આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. પક્ષમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદ વચ્ચે ગુરૂવારના રોજ સંગઠનની ટીમની પરિચય બેઠક મળી હતી. મકતમપુર સ્થિત જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસે આ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સંગઠન પ્રભારી અને વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. જિલ્લા ભાજપના પ્રમુખની રચનાના એક વર્ષ બાદ જિલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. નવા 48 હોદ્દેદારોની વરણી કરાઇ છે જેમાંથી માત્ર 5 જ લોકોને રીપીટ કરવામાં આવ્યાં છે જયારે 43 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવા સંગઠનમાં જુના જોગીઓના પત્તા કપાઇ જતાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે. ભાજપમાં ઉકળતા ચરૂ વચ્ચે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે નવી ટીમની બેઠક મળી હતી. જેમાં જિલ્લા સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. બેઠક જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાઈ:કડીથી મહારાષ્ટ્ર મોકલાઇ રહેલો રૂ. 38.45 લાખનો પામ તેલનો જથ્થો સગેવગે કરાયો
ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. ખાલી ટેન્કર અંકલેશ્વરની આરામ હોટલ પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાપી ખાતે રહેતા અનિલ મિશ્રા એ પોતાના ટેન્કર ડ્રાઇવર સાજીદ અલી મોહમ્મદ ફારૂક આપ્યું હતું જે ગત 8 મી માર્ચના રોજ કડી કલોલ ખાતે આવેલ જી-1 એગ્રો પ્રોડક્ટ લિમિટેડ કંપની માંથી પામોલીન તેલ ભરી મહારાષ્ટ્ર ના બેલાપુર સ્થિત આનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જવા માટે નીકળ્યું હતું. દરમિયાન ચાલક દ્વારા રસ્તા માં પોતાના આર્થિક ફાયદો સારું ટેન્કર માં રહેલા 28350 લીટર પામોલીન તેલનો જથ્થો બારોબાર કોઈ જગ્યા એ વેચી નાખી સગેવગે કરી નાખ્યો હતો. 10 મી માર્ચ રાત્રી ના માંડવા ટોલ થઇ અંકલેશ્વર હાઇવે પર આવેલ આરામ હોટલ કમ્પાઉન્ડ માં ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ ગયો હતો. ટેન્કર ચાલક ફોન સ્વિચ ઓફ કરી દીધા બાદ ટેન્કર ના માલિક અનિલ મિશ્રા ના ફોન ના ઉઠાવતા તેને શંકા જતા જીપીએસ લોકેશન આધારે તેઓ અંકલેશ્વર ની આરામ હોટલ ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. જ્યાં ટેન્કર ચેક કરતા અંદર થી પામ તેલ સગેવગે થઇ ગયું હતું. આ અંગે ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક વિરુદ્ધ ટેન્કર માલિક અનિલ મિશ્રા દ્વારા 38.54 લાખ રૂપિયા ના પામ તેલ ને સગેવગે કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પુલના સમારકામની કામગીરી હાથ ધરાઈ:વ્યારા-તરસાડા રોડ પર જોખમી બનેલા પુલનું સમારકામ શરૂ
વ્યારાથી તરસાડાને જોડતા અને કાકરાપાર અણુ મથક જેવા મહત્વના સ્થળ સુધી જતા મુખ્ય માર્ગ પર આવેલા પુલની બિસ્માર હાલત અંગે દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે. તંત્રની ઘોર બેદરકારી અને માત્ર આડશ મૂકીને સંતોષ માનતી નીતિ સામે લાલ આંખ કર્યા બાદ, આજે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલના સાંધા વચ્ચેની લોખંડની એંગલો રોડની સપાટીથી બહાર આવી ગઈ હતી, જેના કારણે ટુ-વ્હીલર સવાર સ્લિપ થવાની કે વાહનોના ટાયર ફાટવાની ગંભીર ઘટનાઓનો ભય સેવાઈ રહ્યો હતો. તંત્રએ માત્ર પ્લાસ્ટિકના કોન મૂકીને કામગીરી પૂર્ણ માની લીધી હતી, જેનાથી લોકોમાં ભારે રોષ હતો. ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર પ્રસિદ્ધ થતાં જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક મજૂરો તેમજ જરૂરી મશીનરી સાથે પુલ પર સમારકામ શરૂ કરાયું છે. બહાર નીકળી ગયેલી લોખંડની એંગલોને વ્યવસ્થિત બેસાડવા અને રોડને સમતલ કરવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.
ડિજિટલ એરેસ્ટ:ભરૂચના નિવૃત્ત કર્મીને 4 દિવસ ડિજિટલએરેસ્ટ કરી ગઠિયાએ 58 લાખ પડાવ્યાં
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કોલોનીમાં રહેતાં નિવૃત કર્મચારીને ટ્રાઇ તથા પોલીસના નામે ધમકાવી સાયબર ગઠિયાઓએ રૂા.58 લાખ પડાવી લીધાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત કર્મચારી કાંતિલાલ પટેલ પર 18મી ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો અને તેમના ફોન પરથી મની લોન્ડ્રીંગ અને લોકોને હેરાનગતિ કરતાં મેસેજ થયાં હોવાની વાત કરી હતી. ફોન કરનારની વાત સાંભળીને કાંતિલાલ ગભરાઇ ગયાં હતાં. બાદમાં સામેવાળાએ વિડીયો કોલ કરીને અન્ય વ્યકતિ સાથે વાત કરાવી હતી જેણે પોતાની ઓળખ પોલીસ ઇન્સપેકટર વિજય ખન્ના તરીકે આપી હતી. સાયબર ગઠિયાઓએ કાંતિલાલને ડીજીટલ એ રેસ્ટ કરી દીધાં હતાં અને તેમના બેંક ખાતાઓમાં રાખેલી રકમ વિશે માહિતી મેળવી હતી. 24મી તારીખ સુધી તેમને ડીજીટલ એરેસ્ટ રાખી પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં આવેલાં બેંક ખાતાઓમાં રૂા.58 લાખની રકમ જમા કરાવડાવી લીધી હતી. બનાવ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નિવૃત કર્મચારીઓ અને વયસ્કો સાયબર માફિયાઓનો સૌથી વધારે શિકાર બનતાં હોય છે. તેઓ એકલવાયા રહેતાં હોવાથી અજાણ્યા નંબર પરથી આવતાં કોલ ઉપાડી લેતાં હોય છે અને તેમની સાથે પરિવારના અન્ય સભ્યો નહિ હોવાથી ગભરાઇ જઇને સાયબર ગઠિયાઓની ચુંગાલમાં ફસાઇ જાય છે. કાયદાકીય કાર્યવાહીના ડરથી તેઓ પોતાની એફડી તોડીને ગઠિયાઓના બેંક ખાતામાં પૈસા જમા કરાવી દેતાં હોય છે. બે વર્ષમાં જનજાગૃતિ માટે 80થી વધુ સેમિનાર છતાં ગુનાઓ વધ્યાં ભરૂચ પોલીસ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે બે વર્ષમાં 80થી વધારેથી સેમીનાર યોજયાં છે તેમ છતાં લોકોમાં હજી જાગૃતિ આવતી નથી. સાયબર માફિયાઓ ખાસ કરીને રોકણના બદલામાં વધારે રીટર્ન, વોટસએપ પણ અજાણી લીંક મોકલીને ફોન હેક કરી પૈસા પડાવવા તથા સીબીઆઇ તેમજ પોલીસના નામે ડરાવી ધમકાવીને પૈસા પડાવવાના કિમીયાઓ અજમાવી રહયાં છે. વોટસએપ પર આવતી અજાણી લીંક નહિ ખોલવા તથા વધારે રીટર્નની લોભામણી જાહેરાતોમાં નહિ ફસાવવા તથા કોઇ પણ કોલથી ડર્યા વિના પોલીસને જાણ કરવા માટે પોલીસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા ધોરણ- 6માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીને મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારબાદ ફોન પણ ઉપાડતી ન હોવાથી માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત બન્યો હતો. છાણી પોલીસને જાણ કરતા પોલીસે આખી રાત દોડધામ કરીને સગીરાને શોધી કાઢી હતી અને સગીર દીકરીને ગણતરીના કલાકોમાં 120 કિમી દૂર અમદાવાદ CTM ચાર રસ્તા પાસેથી શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી પોતાના વાલી-વારસની જાણ બહાર નીકળી ગયેલી એક 13 વર્ષીય કિશોરીને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય અભિગમ સાથે સરાહનીય કામગીરી કરી છે. 13 વર્ષની બાળકી ઘરેથી નીકળી ગઈ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી આશરે 13 વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ હતી. આ બાબતની જાણ પોલીસને થતા જ ગોરવા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન અને ઝોન-1 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સચોટ ઉપયોગબાળકીને શોધવા માટે પોલીસે સમય સૂચકતા વાપરી તુરંત જ બાળકીના નામ અને ફોટા સાથેનું એક પોસ્ટર તૈયાર કર્યું હતું. આ પોસ્ટરને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા ગ્રુપોમાં વ્યાપકપણે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પોલીસની આ વ્યૂહરચના કારગત નીવડી હતી અને ટૂંકા સમયમાં જ બાળકીની ભાળ મળી ગઈ હતી. પોલીસની પ્રશંસનીય કામગીરી બાળકી મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને સુરક્ષિત રીતે તેના વાલી-વારસને સોંપી હતી. પોતાના વ્હાલસોયી દીકરીને હેમખેમ પાછી મેળવતા પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગોરવા પોલીસ, LCB ઝોન 1 અને મકરપુરા પોલીસની આ સંયુક્ત અને ઝડપી કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે કામગીરીની નોંધ લીધી છે. તેમણે છાણી પોલીસ, ગોરવા પોલીસ અને ખાસ કરીને LCB ઝોન-1ની ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ ટીમોને પ્રશંસા પત્ર અને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. DCP ઝોન 1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બાળકી તેના દાદી સાથે રહે છે, તેના માતા-પિતા નથી. તે માનસિક રીતે અસ્થિર હોવાથી ગઈકાલે રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી અને એક રિક્ષામાં બેસી ગઈ હતી. આજે બપોર સુધીમાં તે મકરપુરા વિસ્તારમાંથી મળી આવી હતી. બાળકી ગુમ થયાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ચાર અલગ-અલગ ટીમો બનાવી હતી. અમે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ કર્યો અને મેસેજ વાયરલ કર્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે તે રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન તરફ ગઈ હતી. અંતે, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી તેને મકરપુરા પાસેથી શોધી લેવામાં આવી હતી. બીજી ઘટનામાં છાણી વિસ્તારમાં કિશોરી ઘરેથી નીકળી ગઈ હતી બે દિવસ પહેલા રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સગીરાના પિતા છાણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી દીકરી રાત્રે આશરે 12:30 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે અને ફોન પણ ઉપાડતી નથી. આ બાબતની ગંભીરતા સમજીને ડીસીપી ઝોન 1 જે એમ. ચાવડાની ચૂચનાથી પી.આઈ આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક પોલીસ ટીમને સક્રિય કરી દીકરીના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં લોકેશન દેના બ્રિજ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ વિસ્તારનું મળ્યું હતું. ત્યારબાદ લોકેશન કરજણ તરફ જતા હોવાને કારણે કરજણ ટોલનાકા અને કરજણ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. આગળ મળેલા લોકેશન મુજબ દીકરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જતા હોવાની જાણ થતા રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈવે ટોલ નાકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. છાણી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોસ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈને દીકરીને શોધવા માટે તેના માતા-પિતા સાથે અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના CTM ચાર રસ્તા નજીક દીકરીનું લોકેશન મળતા પોલીસ દ્વારા તપાસ કરતા અંતે દીકરી સવારે 6 વાગે મળી આવી હતી. જેથી દીકરી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા-પિતાએ છાણી પોલીસ સ્ટેશનની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવી છે. ડીસીપી ઝોન 1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, માતાપિતા સાથે ભાવનાત્મક જોડાણ તૂટી જવાને કારણે હવે કિશોરો ઘરેથી ભાગી જવાના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે. અમારી પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે કિશોરી અને તેના માતાપિતા વચ્ચે મોબાઇલ ફોનના ઉપયોગને કારણે મતભેદો ઉભા થયા હતા. અમે પહેલા કિશોરીને તેના માતાપિતાને સોંપી છે અને તેમને ઘરે મોકલી દીધા છે.
ભાવનગર એલસીબી પોલીસે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર રેઇડ કરતા વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192 નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખ્સ હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે શખ્સ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, એ દરમ્યાન બાતમી મળી હતી કે રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ સરદારનગર ખાતે રહેતો કલ્પેશ હસમુખભાઈ બારૈયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા શખસ હાજર મળી આવ્યો ન હતો. જ્યારે રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કલ્પેશ હસમુખભાઈ બારૈયા રહે. પ્લોટ નંબર 9, રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ, સરદારનગર, ભાવનગર વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ... મારી જાનને બે દિવસથી ખતરો છે! – આ દર્દભર્યા શબ્દો છે વડોદરાની એક પીડિતાના, જેણે બે વર્ષ પહેલાં અન્ય ધર્મના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ 'કેરળા સ્ટોરી 2' જેવી ખૌફનાક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. પતિ સલમાન સલીમખાન પઠાન દ્વારા શારીરિક-માનસિક અત્યાચાર, ચપ્પુ ગળે મૂકીને બૂમ પાડીશ તો ટુકડા કરી થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ જેવી ધમકીઓ, ખેતરમાં લઈ જઈ ગળું દબાવી માર મારવો આ તમામ ભયાનક ઘટનાઓ પછી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પીડિતાને SHE ટીમ દ્વારા રક્ષણ તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે, પરંતુ યુવતીનું કહેવું છે કે હવે છૂટકારો જ જોઈએ છે, જાન બચાવો! આ ઘટનાએ ફરી એકવાર ઇન્ટર-ફેથ મેરેજમાં છુપાયેલા જોખમો અને ઘરેલુ હિંસાના અંધકારમય પાસાને ઉજાગર કર્યા છે. 'મને ખેતરમાં દૂર લઈ જઈને ચપ્પુથી ધમકી આપી'આ મામલે ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું હતું કે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પણ હવે ભૂલ મારી સુધારવા માંગુ છું. હવે મારે એનાથી છુટું જ જોઈએ છે, કેમ કે એ મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે. મારવાની ધમકી આપે છે, ચપ્પુ લઈને પાછળ ભાગે છે, આખા એકતાનગરમાં મારી પાછળ ભાગે છે. મારી જાનને બે દિવસ બહુ ખતરો હતો, કેમ કે બહુ દૂર મને લઈ ગયેલો ખેતરમાં અને ત્યાં જઈને લઈને મને બહુ ખતરનાક મારી, ચપ્પુ પણ હતું. એની જોડે અને મને ધમકાવતો હતો કે, તારે મારી જોડે રહેવું છે કે નહીં રહેવું એમ તેમ. 'મને કે તું જઈશ તો તારા ઘરનાઓને મારીશ'વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેણે મારા ગળા પર ચપ્પુ મૂકી દીધેલું. તે ડરાવી ધમકાવીને મને અત્યાર સુધી રાખી છે એટલે જ રહી બાકી તો ના રેત. મારી મમ્મી લોકોને મારવાની જ ધમકી આપતો હતો. મને કે તું જઈશ તો તારા ઘરનાઓને મારીશ. મેં ઝઘડો કરી ને કંટાળીને આવી ગઈ હતી ત્યારે કે મારી મમ્મીના હાથે જ ચપ્પુ મારી દીધું હતું. મને કોઈની બીક નથી સરકાર પણ કઈ મારું કરી શકશે નહીં. મને ત્યાં જબરદસ્તી રાખવી છે અને અન્ય યુવતીને પણ રખાવી છે. 'પીડિત મહિલાએ ધર્મપરિવર્તન અંગે કોઈ ફરિયાદ પોલીસમાં નથી કરી'મામલે ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને જણાવ્યું છે કે, આ કિસ્સો લવ જેહાદનો નથી, પરંતુ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો છે. પત્નીએ પોતાના પતિ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પીડિત મહિલાએ ધર્મપરિવર્તન અંગે કોઈ ફરિયાદ પોલીસમાં નથી કરી. પોલીસ હાલમાં આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પીડિત યુવતી અને તેના પરિવારને શી ટીમ દ્વારા રક્ષણ આપવામાં આવશે. શી ટીમ દ્વારા પીડિત મહિલાનું કાઉન્સેલિંગ પણ ચાલુ છે. યુવતી અને સલમાને 2024માં કોર્ટ મેરેજ કર્યા હતાઆ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025માં તેણીને ખબર પડી કે, તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો તેમ છતાં ઘર ન ભાંગે એવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી,2026ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. 'હવે બૂમો પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ'મહિલા, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે, તારે મારી સાથે રહેવું છે કે નહીં? ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગદ્દા-પાટુથી માથા પર માર માર્યો. તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાને ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ બનાવ મામલે મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયાનો અગમ્ય કારણોસર આપઘાતશહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે તેમનો પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો. મકરપુરા પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયોઆ આત્મહત્યા પોલીસ જવાને શા માટે કરો તે બાબતે હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ પોલીસ જવાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથીઆ અંગે મકરપુરા પોલીસ મથકના પી.આઈ. એ.એમ. ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પોલીસ જવાન એ એસ આઈ તરીકે ફરજ બજાવતા હતા. બપોરે જમ્યા બાદ તેઓ પોતાના ઘરે આ પગલું ભર્યું છે. આ આત્મહત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે તેઓનો મોબાઈલ ફોન કબજે લીધો છે. તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલમાં મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે બાદમાં વધુ તપાસ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સંબંધિત જિલ્લાઓ અને નગરપાલિકાઓના વોર્ડ માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ભારતના બંધારણના અનુચ્છેદ 243 (ક) તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને સંબંધિત નિયમો હેઠળ લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ સહિતના જિલ્લાઓની નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપાઈઅમદાવાદ જિલ્લામાં બોપલ, વિરમગામ અને ધોળકા નગરપાલિકાના વોર્ડ નં.1 માટે ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સંબંધિત મામલતદારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓના નામનું લિસ્ટ જોવા ક્લિક કરો અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી અને સાવરકુંડલા નગરપાલિકાઓના વોર્ડ માટે જિલ્લા પંચાયત અને વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. સાથે જ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે મામલતદાર અને અન્ય પ્રશાસનિક અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નિયુક્તઅરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ નગરપાલિકા માટે પણ પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજિત્રા અને આણંદ નગરપાલિકાઓમાં પણ વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લાના ભુજ નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા સંચાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશેરાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકથી આવનારી નગરપાલિકા ચૂંટણી માટેની પ્રશાસનિક તૈયારીઓ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે આ અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશે.
નાગા સાધુના વેશમાં સેતાનની કરતૂત:ગાંધીનગરના ખેડૂતને પૈસા ચાર ગણા કરવાની લાલચ આપી 15 લાખની છેતરપિંડી
ગાંધીનગરના રૂપાલ ગામના એક ખેડૂત સાથે પૈસા ડબલ અને ચાર ગણા કરી આપવાની લાલચ આપી 15 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાંચે પકડેલા સાધુના વેશમાં ઠગને ઓળખી લેતા પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના રૂપાલ ગામના દિનેશજી પથુજી ચાવડા નવ મહિના અગાઉ એક્ટિવાની નંબર પ્લેટ નંખાવવા નારદીપુર રોડ પરથી પસાર થતા હતા.ત્યારે સફેદ ગાડીમાં બેસેલા બે શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા. ગાડીમાં બેસેલા એક નગ્ન બાવાજીએ આશીર્વાદ રૂપે રુદ્રાક્ષનો મણકો અને 500ની નોટ આપી દિનેશજીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ પૈસા ડબલ કરી આપીશ તેમ કહી પ્રથમ તબક્કે 50 હજાર રૂપિયા લઈ રૂમાલમાં વીંટીને પરત આપી ખેડૂતને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. બાવાજીએ ત્યારબાદ દિનેશજીને ફોન કરી 15 લાખ રૂપિયા લઈને બાલાસિનોર બોલાવ્યા હતા. આથી, ખેડૂત દિનેશજી પોતાની બેંકની એફ.ડી. તોડીને 10 લાખ અને અન્ય 5 લાખ હાથ ઉછીના મેળવી કુલ 15 લાખ રૂપિયા એલ્યુમિનિયમના ડબામાં ભરીને બાવાજી અને તેની સાથેના શખ્સને સોંપી દીધા હતા. આરોપીઓએ આ રકમ ચાર ગણી કરીને ઘરે આવીને આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા અને મોબાઈલ પણ બંધ કરી દીધા હતા. લાંબા સમય સુધી પૈસા પરત ન મળતા ખેડૂતને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ દરમિયાન સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારીને પકડી પાડ્યાના સમાચાર ઓનલાઇન જોતા ખેડૂત ચોંકી ઉઠ્યા હતા. સમાચારમાં દેખાયેલો ફોટો એ જ બાવાજીનો હતો જેણે 15 લાખની ઠગાઈ કરી હતી.પેથાપુર પોલીસે આ મામલે રાજેશનાથ મદારી (રહે. કપડવંજ) અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાનો મિલિન્દ તોરવણે વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:પહેલો દિવસ જ પડકારજનક સાબિત થયો
સુરત સહિત સમગ્ર રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં જ હવે વહીવટદારોના શાસનનો આરંભ થયો છે. આ કડીમાં આજે સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના તમામ મહત્વપૂર્ણ વહીવટી અને નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા હવે મિલિન્દ તોરવણેના હસ્તક રહેશે. વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતીગઈકાલે 11મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થઈ હતી. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની ગેરહાજરીમાં મહાનગરપાલિકાના કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરતની જવાબદારી મિલિન્દ તોરવણેને સોંપવામાં આવી છે. મિલિન્દ તોરવણેનો સુરત સાથે જૂનો નાતોમિલિન્દ તોરવણે સુરત માટે કોઈ નવું નામ નથી. તેઓ અગાઉ વર્ષ 2014થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. તેમની કાર્યક્ષમતા અને સુરત શહેરની ભૌગોલિક તેમજ વહીવટી સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હોવાથી, રાજ્ય સરકારે ફરી એકવાર તેમના પર ભરોસો મૂકી સુરતની સુકાન સોંપી છે. ચૂંટણી સુધી તમામ સત્તાઓ વહીવટદાર પાસેસામાન્ય રીતે મહાનગરપાલિકામાં નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ પાસે હોય છે. પરંતુ હવે જ્યારે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી, ત્યારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે ગુજરાતમાં પણ લાગુ પડે છેતે મુજબ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની તમામ સત્તાઓ હવે વહીવટદાર પાસે રહેશે.શહેરના વિકાસના કામો, ટેન્ડરોની મંજૂરી અને આર્થિક નિર્ણયો હવે મિલિન્દ તોરવણે લઈ શકશે. ચૂંટણી આચારસંહિતા અને લોકશાહીના માપદંડો જળવાય તે રીતે વહીવટ ચલાવવાની તેમની પ્રાથમિક જવાબદારી રહેશે. વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હવે મિલિન્દ તોરવણે સામે અનેક પડકારો પણ છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ અભિયાન અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પ્રી-મોન્સૂન કામગીરી તેમની પ્રાથમિકતામાં રહેશે. આ ઉપરાંત, પડતર પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને વહીવટી પારદર્શિતા જાળવી રાખવી એ પણ એક મુખ્ય કાર્ય બની રહેશે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છેસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ સળવળાટ તેજ થયો છે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છે, પરંતુ જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરીજનોની સુખાકારી અને વહીવટી ગતિશીલતા જાળવી રાખવાની જવાબદારી હવે સંપૂર્ણપણે મિલિન્દ તોરવણેના ખભે છે. સુરત મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણે માટે પ્રથમ દિવસ જ પડકારજનક સાબિત થયો હતો. પોતાની માંગણીઓને લઈને પાલિકાના મુખ્ય દ્વાર પાસે વિરોધ કરી રહેલા પાથરણાવાળાઓએ સાંજે ઓફિસ સમય પૂર્ણ કરી નીકળતા વહીવટદારની ગાડીને મ્યુનિસિપલ કમિશનરની ગાડી સમજીને ઘેરી લીધી હતી મળતી વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકાના મુખ્ય ગેટ પાસે પાથરણાવાળાઓ અને લારી-ગલ્લા ધારકો છેલ્લા પોતાની વિવિધ માંગણીઓ અને પાલિકાની કથિત હેરાનગતિ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. ગુરુવારે સાંજે આશરે 6:00 વાગ્યે, જ્યારે વહીવટદાર મિલિન્દ તોરવણે પોતાનો પ્રથમ દિવસનો કાર્યભાર સંભાળીને ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા, ત્યારે આંદોલનકારીઓએ તેમની ગાડીને આંતરી લીધી હતી. પ્રદર્શનકારીઓમાં એવી ગેરસમજ ઉભી થઈ હતી કે આ ગાડી મ્યુનિસિપલ કમિશનરની છે. આક્રોશિત લોકોએ ગાડીની આસપાસ કુંડાળું વળી લીધું હતું અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે કેટલાક દેખાવકારો પાલિકાના મુખ્ય ગેટની બિલકુલ સામે રસ્તા પર જ સુઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. આ ઘટના બાદ મિલિન્દ તોરવણે ચાલતા જ ગેટ બહાર આવી ગયા હતા અને વિરોધ કરતા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાની આપ વીતી જણાવવા લાગ્યા હતા મિલિન્દ તોરવણે વિનમ્ર ભાવે તેમને સમજાવ્યા હતા કે હું કમિશનર નથી કમિશનર અંદર છે તમે તમારી રજૂઆત તેમની પાસે શાંતિથી કરી શકો છો.
સુરત મહાપાલિકા હવે સ્માર્ટ સિટીથી એક ડગલું આગળ વધીને 'ટેક-સિટી' બનવા તરફ જઈ રહી છે. ટેકનોક્રેટ કમિશનર એમ. નાગરાજનના વિઝનરી નેતૃત્વ હેઠળ પાલિકાના વહીવટમાં હવે ‘ડ્રોન’ શક્તિનો ઉદય થવા જઈ રહ્યો છે. માત્ર ફાયર બ્રિગેડ જ નહીં, પરંતુ આરોગ્યથી લઈને ટાઉન પ્લાનિંગ સુધીના તમામ મહત્વના વિભાગોમાં કસ્ટમાઇઝ્ડ ડ્રોનનો ઉપયોગ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કમિશનર એમ. નાગરાજનની પહેલ પર સુરત પાલિકાના વિવિધ વિભાગોના 16 નિષ્ણાત અધિકારીઓની એક વિશેષ ટીમ ચેન્નાઈ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ડૉ. કલામ એડવાન્સ રિસર્ચ સેન્ટરની મુલાકાતે પહોંચી છે. આ ટીમમાં ફાયર, ટાઉન પ્લાનિંગ, આઈ.એસ.ડી. (IT), આરોગ્ય અને વર્કશોપ વિભાગના એન્જિનિયરોનો સમાવેશ થાય છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ડ્રોન નહીં પણ સુરતની જરૂરિયાત મુજબના ‘કસ્ટમાઇઝ્ડ ડ્રોન’ તૈયાર કરવાની ટેકનોલોજી સમજવાનો છે. બહુમાળી ઈમારતોમાં લાઈવ રેસ્ક્યુ ઓપરેશનસુરતમાં વધી રહેલી હાઈરાઈઝ બિલ્ડિંગોને ધ્યાને રાખી ફાયર વિભાગ માટે ખાસ ડ્રોન તૈયાર કરાશે. આ ડ્રોન આગની ઘટના વખતે ઈમારતની અંદરની ગંભીર પરિસ્થિતિનું લાઈવ વિડિયોગ્રાફી દ્વારા નિરીક્ષણ કરશે. જેનાથી ફાયર ઓફિસરો નીચે બેઠા જ જાણી શકશે કે અંદર કેટલા લોકો ફસાયા છે અને આગ કયા લેવલ પર છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી વધુ સચોટ બનશે. ખાડી અને પ્લોટમાં દવાનો છંટકાવ હવે આસાનશહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે આરોગ્ય વિભાગ અત્યાર સુધી મેન્યુઅલ કામગીરી કરતું હતું. હવે નવા પ્રોજેક્ટ મુજબ, ડ્રોન દ્વારા ખુલ્લા ખેતરો, પ્લોટ કે ખાડી વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. આ ટેકનોલોજીથી દુર્ગમ વિસ્તારોમાં પણ ચોકસાઈપૂર્વક દવાનો છંટકાવ કરી શકાશે, જે રોગચાળો અટકાવવામાં મદદરૂપ થશે. ટાઉન પ્લાનિંગ વિભાગ ડ્રોનનો ઉપયોગ શહેરના સર્વેક્ષણ અને ગેરકાયદેસર દબાણો શોધવા માટે કરશે. આ ડ્રોન દ્વારા થતા ડિજિટલ મેપિંગથી પ્રોજેક્ટ મોનિટરિંગ અને ડેટા એનાલિસિસમાં મોટી મદદ મળશે. આઈ.એસ.ડી. વિભાગ આ ડેટાનો ઉપયોગ કરીને શહેરનો ચોક્કસ ડિજિટલ નકશો તૈયાર કરશે, જેનાથી ભવિષ્યના આયોજનમાં સરળતા રહેશે. માત્ર નિરીક્ષણ નહીં પણ સેવાનું નવું માધ્યમસામાન્ય રીતે ડ્રોનનો ઉપયોગ માત્ર ફોટોગ્રાફી કે નિરીક્ષણ માટે થાય છે, પરંતુ સુરત પાલિકા દરેક વિભાગની સ્પેસિફિક જરૂરિયાત મુજબના ડ્રોન બનાવવા માંગે છે. ચેન્નાઈની સંસ્થામાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ ત્યાં પ્રત્યક્ષ ટેકનિકલ પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ટીમ પરત આવ્યા બાદ સોંપશે વિગતવાર રિપોર્ટચેન્નાઈ ગયેલી 16 અધિકારીઓની ટીમ પરત આવ્યા બાદ કમિશનરને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટમાં કયા વિભાગને કેવા પ્રકારના સેન્સર અને કેમેરા ધરાવતા ડ્રોનની જરૂર છે તેનું વર્ણન હશે. આ રિપોર્ટના આધારે આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી સુરત મહાપાલિકાના કાફલામાં અત્યાધુનિક ડ્રોન્સનો ઉમેરો કરવામાં આવશે.
MSU વડોદરામાં ‘અર્થરંગ 2026’નો ચોથો દિવસ:વિદ્યાર્થીઓએ માઇમ, ડાન્સ, પેઇન્ટિંગમાં સર્જનાત્મકતા દર્શાવી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાની કોમર્સ ફેકલ્ટી ખાતે આયોજિત ‘અર્થરંગ 2026’ ફેસ્ટના ચોથા દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ મનોરંજક અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ દિવસે કેમ્પસમાં ઉત્સાહ અને કલાત્મક અભિવ્યક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે માઇમ, સ્કિટ, મિમિક્રી, કાર્ટૂન, પોસ્ટર મેકિંગ, પેઇન્ટિંગ અને વેસ્ટર્ન ડાન્સ (સોલો અને ગ્રુપ) જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી હતી. માઇમ અને સ્કિટ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સંવાદ વગર અથવા નાટ્યરૂપે સામાજિક સંદેશાઓ રજૂ કર્યા હતા, જે દર્શકો માટે રસપ્રદ રહ્યા. મિમિક્રી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ અવાજ અને શૈલીની નકલ કરીને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્ટૂન, પોસ્ટર મેકિંગ અને પેઇન્ટિંગ જેવી કલાત્મક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધાએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉર્જાથી ભરી દીધું હતું, જેમાં સોલો અને ગ્રુપ બંને પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ‘અર્થરંગ 2026’ ફેસ્ટ તેમને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પોતાની છુપાયેલી પ્રતિભા રજૂ કરવાની અને આત્મવિશ્વાસ વધારવાની ઉત્તમ તક પણ પૂરી પાડે છે.આમ, ‘અર્થરંગ 2026’ નો ચોથો દિવસ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મકતા અને ઉત્સાહથી યાદગાર બની રહ્યો.
રાજકોટ SOG એ ભારતીય બનાવટની નકલી ચલણી નોટ બનાવનારા પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે રૈયાધાર ગૌશાળા પાસે મફતિયાપરામાં રેડ પાડી નૈતિક અગ્રાવત નામના શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી 100 અને 200 ના દરની 38 નકલી નોટ કબ્જે કરી છે. આ શખ્સ કેટલા સમયથી ભારતીય બનાવટની નકલી ચલણી નોટનું છાપકામ કરતો હતો અને કેટલી ચલણી નોટો બજારમાં કઈ કઈ જગ્યાએ આપી છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આજે 12 માર્ચના રાજકોટ SOG પોલીસને બાતમ મળી હતી કે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે રૈયાધાર ગૌ શાળા નજીક મફતીયાપરામાં રહેણાંક મકાનમાં નકલી ચલણી નોટોનું છાપકામ થાય છે. જેથી પોલીસે ત્યાં રેડ પાડતા નૈતીક મહેન્દ્રભાઇ અગ્રાવત પાસેથી ભારતીય બનાવટની 38 નકલી ચલણી નોટ ઝડપાઈ ગઈ હતી. આ સાથે જ ત્યાંથી A-4 સાઇઝના ફુલ પેપરમા આગળ પાછળ પ્રીન્ટ કરેલા તેમજ એક સાઇડ પ્રીન્ટ કરેલા ભારતીય ચલણની રૂ.100 ના દરની નોટવાળા 35 પેપર મળી આવ્યા હતા. આ ઉપરાંત ફૂટપટ્ટી, કટર, પ્રિન્ટર અને મોબાઈલ સહિત રૂ.23,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી નૈતિક અગ્રાવત સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તો ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરીનો ગૂનો નોંધાઈ ચૂક્યો છે. જોકે હવે ભારતીય બનાવટની નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે નહીં અને કઈ કઈ જગ્યાએથી આ નોટો બજારમાં ઘુસાડી છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
વેરાવળમાં ડો.આંબેડકર પાર્કનું લોકાર્પણ:2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ બાદ જનતા માટે ખુલ્લો
વેરાવળ શહેરના હાર્દસ્થળે આવેલો ડો. આંબેડકર પાર્ક હવે આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ મેળવી રહ્યો છે. રૂ. 2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ અને નવીનીકરણ કામ પૂર્ણ થતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પાર્ક હવે બાળકો, યુવાનો અને વડીલો માટે મનોરંજન તથા આરોગ્ય માટેનું આકર્ષક કેન્દ્ર બનશે. ગુરુવારે રાત્રે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે પાર્કનું લોકાર્પણ થતાં શહેરવાસીઓમાં આનંદનો માહોલ સર્જાયો હતો. નવીનીકરણ બાદ ડો. આંબેડકર પાર્કમાં બાળકો માટે ખાસ આકર્ષણ રૂપે ટોય ટ્રેન, હીંચકા અને વિવિધ રમતગમતના સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ બાળકો સાથે પરિવાર માટે મનોરંજનનું પ્રિય સ્થળ બનશે. પાર્કમાં આકર્ષક ફાઉન્ટેન અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જે લોકો માટે ફોટોગ્રાફી અને મોજમસ્તીનું કેન્દ્ર બનશે. વેરાવળ શહેરમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાના હેતુથી પાર્કમાં અદ્યતન કસરત સાધનો અને ઓપન જિમ પણ ઉભું કરવામાં આવ્યું છે. વહેલી સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં વોક અને કસરત માટે આવે છે, જેઓ હવે વધુ સુવિધાસભર માહોલમાં સ્વાસ્થ્યલાભ લઈ શકશે. આ ઉપરાંત, પાર્કમાં ફૂડ કોર્ટ, હાઇમાસ્ટ ટાવર લાઇટિંગ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 35 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આનાથી પાર્કમાં આવનારા નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ મળી રહેશે. વર્ષો જૂના આ પબ્લિક ગાર્ડનનું આધુનિક રૂપાંતરણ થતાં ડો. આંબેડકર પાર્ક હવે વેરાવળ શહેર માટે મનોરંજન, સ્વાસ્થ્ય અને પરિવાર સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે. શહેરના નાગરિકોએ નવી સુવિધાઓ સાથે ખુલ્લા મુકાયેલા પાર્કનું સ્વાગત કરતાં ખુશી વ્યક્ત કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવી ગાળો આપનાર શખ્સે મિત્રના ઘરમાંથી જ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે બીજા બનાવમાં શહેરમાં છરીથી હૂમલાના કેસમાં આરોપી 18 વર્ષે પકડાયો છે તો ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવાનના ખોખડદડ ખાતે રહેતા પરિવારને 12 શખ્સોની ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યુ છે. જોકે એક માસ પૂર્વે બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપી જણાવ્યું હતું કે, આશરે 10 મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂ. 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા. આ દરમિયાન ગત તા. 19/5 ના સાંજના 8 વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્નમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર આશિફને આપી હતી. જોકે ગત તા. 20/5 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂ.1.50 લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતુ. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશીફ નામના શખસે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કર્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વિડીયો આશીફે બનાવ્યો હતો. તેણે રાજ્યના ગૃહમંત્રી વિશે બેફામ ટિપ્પણી કરી હતી. તેણે ગૃહમંત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. છરીથી હૂમલાના કેસમાં આરોપી વર્ષ 2007 થી ફરાર હતો, રાજકોટ પોલીસે ગોંડલથી ઝડપી પાડ્યો રાજકોટમાં છરીથી હુમલાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપવામાં પોલીસને 18 વર્ષ લાગ્યા છે. શહેરમાં વર્ષ 2007માં જૂના ઝઘડાનો ખાર રાખી સંજય પરમાર નામના યુવાન પર છરીથી હૂમલો થયો હતો. જે ઘટનામાં અગાઉ 2 આરોપી ઝડપાઈ ગયા હતા. જોકે શાંતિલાલ ચૌહાણ નામનો શખ્સ ફરાર હતો. જોકે પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે આ શખ્સને ગોંડલથી પકડી પાડ્યો છે. જેથી આ શખ્સને યુવા વયે આચરેલા ગૂનાની સજા પ્રૌઢ અવસ્થામાં જેલમાં ગાળશે. શહેરના શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર બાલાજી ચોક પાસે વર્ષ 2007 માં સંજયભાઈ જયસુખભાઈ પરમારને (ઉ.વ.20, રહે. હુડકો કવાર્ટર) જૂના ઝઘડાના મનદુ:ખમાં ઘરેથી બોલાવી છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરતા તેને ગંભીર ઈજા થઈ હતી.ભક્તિનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અગાઉ કુખ્યાત હિતેશ ઉર્ફે રામલો શાંતિલાલ માનસેતા અને કિશોર ઉર્ફે ડકો હેમરાજભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જયારે શાંતીલાલ બોઘાભાઈ ચૌહાણ (ઉ.વ.40) નામનો આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને 18 વર્ષ વીતિ ગયા બાદ રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી ગોંડલથી ઝડપી ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો. ભક્તિનગર પોલીસે આરોપીની પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી શાંતીલાલ ઉર્ફે શાંતીયો રાજકોટમાં ગુનો આચરી ફરાર થઈ ગયા બાદ અલગ-અલગ સ્થળે ગયો હતો. જેમાં સુરત ગયા બાદ ત્યાં લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા વર્ષો બાદ તેના છુટાછેડા થઈ ગયા હતા. જે બાદ તે ગોંડલ રહેવા આવી ગયો હતો. હાલ તે માતા સાથે રહી મજુરી કામ કરતો હતો. ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ થારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ મધ્યરાત્રિએ થાર કારમાં તોડફોડ કરી પરિણીતાને ધમકી આપી હતી. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમજ યુવરાજ ખુમાણ સાથે યુવકને થયેલી બોલાચાલીને પગલે યુવરાજ ખુમાણ આણી 13 શખ્સોની ટોળકીએ ધોકા, પાઇપ, તલવાર સાથે ધસી આવી યુવકની થાર કારમાં તોડફોડ કરી પરિણીતાના ભાઈના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ખોખડદડ ગામે ત્રિશા પાર્કમાં રહેતા 32 વર્ષીય પરિણીતા મનિષાબેન રામભાઈ લાખનોત્રાએ આરોપી તરીકે યુવરાજ ખુમાણ, રવિ અને તેની સાથે આવેલા બારથી તેર અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પરીવારમાં પતિ રામભાઈ, દીકરી હાર્મીશા અને દીકરો દ્વારકેશ છે. તેમની સોસાયટીમાં ઘરની સામે સગા ભાઈ કાળુભાઈ ઉર્ફે લાલાભાઈ બામરોટીયા રહે છે અને તેમની પાસે થાર કાર છે. જેના નં. જીજે-03-પીજે-5554 છે. ગત તા.14/02 ના રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ તેણી ઘરે સુતી હતી ત્યારે ઘરની બહાર શેરીમાં ગાડીના કાચ તુટવાના જોરથી અવાજ આવતા ઘરનો દરવાજો ખોલી બહાર આવી જોયું તો શેરીમાં લાલાભાઈની થાર કાર પાસે બારથી તેર શખ્સો ઉભા હતા અને તેમના હાથમાં પાઈપ -ધોકા તથા તલવાર જેવા હથીયાર હતા. જેમાંથી એક યુવરાજ ખુમાણ હતો અને તેની સાથે બીજા 12થી 13 અજાણ્યા શખ્સો હતા. તેણીને યુવરાજ ખુમાણ જોઈ જતા તે તથા તેની સાથેના રવી તેણી પર હુમલો કરવા દોડ્યા હતા. જે બાદ શખ્સો ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા કે, તારો ભાઈ લાલો ક્યાં છે, તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે બાકી તેના પરિવારને જીવવા નહીં દઉં. જાનથી મારી નાખીશ. જોકે બાદમાં તેણીએ 112 માં ફોન કરતા આરોપી તેમની અલગ -અલગ ત્રણ કારમાં બેસી નાસી ગયા હતા. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ભાઇ લાલાભાઈને નીતીન ઉર્ફે ખજૂર જાની તથા યુવરાજ ખુમાણ સાથે સાવરકુંડલા ખાતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડાનો ખાર રાખી યુવરાજ ખુમાણે ટોળાં સ્વરૂપે ધસી આવી ખૂનની ધમકી આપી થાર કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે રાયોટિંગ, ધમકી, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. પતિ સાથે ઝઘડો થતા ઝેરી દવા પી જતી સગર્ભા, ભૃણનું મોત મોટામવા ગામ નજીક ઝૂપડામાં રહેતા પરિવારમાં પતિ સાથે ઝઘડો થયા પછી સગર્ભા પત્નીએ ઝેર પીધું હતું. જેથી ગર્ભમાં રહેલ શિશુ અને માતા બંનેનું મોત નીપજ્યું હતુ. પાયલબેન અજયભાઇ મીડોલીયા (ઉં.વ. 20, એ આશરે 6 દિવસ પહેલા પોતાના ઝુંપડે હતી ત્યારે ઉંદર મારવાની ઝેરી દવા ફ્રૂટ સલાડમાં નાખી પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા તત્કાલ પાયલને રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી કારણ કે, તેને 7 મહિનાનો ગર્ભ હતો. પરિવારજનોને જણાવ્યું કે, પાયલનો પતિ અજય ગોપાલ મીડોલીયા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક બે વર્ષની દીકરી છે. આશરે છ દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ કારણે ઝઘડો થયો હતો.જેમાં અજય પત્ની પાયલને ફડાકા મારી લીધા હતા. જેથી લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે કોઈને જાણ કરી નહોતી. તા.10 માર્ચે એટલે કે બનાવના થોડા દિવસો પીછી તેની તબિયત બગડવા લાગી હતી. તે દિવસે સવારનાં 7 વાગ્યે ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરે દર્દીની હાલત જોતા ગર્ભમાં અંદરના ભાગે વધારે ડેમેજ જણાયું.દર્દી એ કોઇ હીસ્ટ્રી બતાવેલ નહીં અને તેને 29 મહીનાનો ગર્ભ હતો અને પેટમાં બાળક હોય જેથી ડીલેવરી કરાવતા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. પણ પાયલ વેન્ટીલેટર ઉપર હતી. દરમ્યાન ગત મોડી રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. વેપારી પાસેથી રૂ.65.58 લાખની રાખડીઓ લઈ ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો રાજકોટના રાખડીના વેપારી પાસેથી અલગ અલગ સમયગાળા દરમિયાન રૂ. 65.58 લાખની રાખડીઓ મંગાવી સુરતના ભેજાબાજે નાણાં નહિ આપી છેતરપિંડી આચર્યા બાદ ફરાર થઇ જતાં પેરોલ ફર્લોની ટીમે આરોપીને સુરતમાંથી દબોચી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે યુનિવર્સીટી રોડ પર સનરાઈઝ એપાર્ટમેન્ટ મકાન નંબર-401 માં રહેતા 55 વર્ષીય પ્રૌઢ વેપારી પ્રવીણભાઈ કાનજીભાઈ ઘેટીયાએ પેડક રોડ ઉપર આવેલ જી.બી. ડાયમંડ નામના કોમ્પલેક્ષમાં 210 નંબરની ઓફિસમાં અજંતા રાખડી નામે દુકાન આવેલ છે. અગાઉ સુરત ખાતે રહેતાં મુળ સાવરકુંડલાના વતની મારા કૌશીકભાઈ સાદરાણી રાખડીનો ધંધો કરતાં હોય તેમને સુરત ખાતે જઈ રાખડી પહોચાડતો હતો.તેમજ બે-અઢી વર્ષ પહેલાં રાખડીઓના નમુના લઇ સુરત ગયેલ હતો. તે વખતે મીત્ર કૌશીકભાઈ સાદરાણીની દુકાને જતાં ત્યાં એક વ્યક્તિ હાજર હતી. જેની ઓળખાણ યોગેશકુમાર પ્રવીણચંદ ગઢીયા તરીકે કરાવી હતી. મિત્રએ જણાવ્યું હતું કે, યોગેશ ગઢીયા પણ રાખડીનો વેપાર કરે છે અને તમે યોગેશકુમારને રાખડીઓ વેપાર કરવા માટે આપજો. ત્યારબાદ યોગેશકુમારને તેમના ઓર્ડર પ્રમાણે વર્ષ 2023 માં અલગ અલગ સમયે મળી કુલ રૂ.65,58,972 ની રાખડીઓ લઈ ગયા હતાં. જે તમામ રાખડીખો મે તેમને તેમના ઓર્ડર પ્રમાણે મારી દુકાનના નામના પાકા બીલથી તેમની દુકાનના નામે પાકા બિલથી ટ્રાવેલ્સથી સુરત ખાતે મોકલેલ હતી. જેના રૂપીયા મને રક્ષાબંધન પછી મોકલી આપવા વાયદો કર્યો હતો. જેથી આરોપીએ તા.08/07/2023 થી તા.17/08/2023 સુધીના જુદા જુદા સમયગાળા દરમ્યાન કુલ રૂ.65,58,972 ની રાખડીઓ મંગાવી તેના રૂપીયા નહિ આપી ઠગાઈ આચરવા મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી:12.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા
પાલનપુર તાલુકાના ખેમાણા ટોલપ્લાઝા પાસેથી બનાસકાંઠા પોલીસે શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 12,49,392/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂના વેચાણ અને હેરાફેરી રોકવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી. ધાંધલ્યાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશદાન રામસીંહને ખાનગી બાતમી મળી હતી કે, RJ-01-GD-2046 નંબરનું મહિન્દ્રા પીકઅપ ડાલુ આબુરોડ (રાજસ્થાન) તરફથી શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરી પાલનપુર આવી રહ્યું છે. આ બાતમીના આધારે ખેમાણા ટોલપ્લાઝા ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ પીકઅપ ડાલાને રોકાવીને તપાસ કરતા, શાકભાજીના કટ્ટા હટાવતા અંદરથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરની કુલ 1560 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,39,392/- થાય છે. દારૂ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ ડાલુ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 12,49,392/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં કાનારામ મુખરામ વણઝારા (ઉં.વ. 21, રહે. બાડીઘાટી, તા. રિયાંખડી, જિ. નાગૌર, રાજસ્થાન) અને શિવપાલ કાલુરામ વણઝારા (ઉં.વ. 23, રહે. બાડીઘાટી, તા. રિયાંખડી, જિ. નાગૌર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદકુડેના માર્ગદર્શન હેઠળ બરડા અભયારણ્ય, રાણાવાવની ટીમને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ચોપાટી ગ્રાઉન્ડ પાસે વન્યપ્રાણીઓના અવશેષોનું ગેરકાયદે વેચાણ કરતા પરપ્રાંતિય શખ્સોને દરોડો પાડીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વન વિભાગને વન્યપ્રાણીઓના શંકાસ્પદ અંગો મળી આવ્યા છે. તેમાં સિંહ અને વાઘના હોવાનું મનાતા નખ તેમજ કસ્તૂરી મૃગના અંગો જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે આ ગેંગની અન્ય પ્રવૃત્તિઓ અને વન્યજીવોના અંગો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં રાજ્યની મહિલાઓ અને બાળકો માટે બસ અને મેટ્રો ટિકિટમાં રાહત, ગ્રામ્ય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર જેટલું ભંડોળ અને બોટાદમાં મહિલા ITI સ્થાપવા સહિતની અનેક માંગણીઓ કરી હતી. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, તેમણે વિધાનસભામાં માંગણી ક્રમાંક 105, 96, 93, 71 અને 57 પર ચર્ચા દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે માંગણી નંબર 57 પર કાપ દરખાસ્ત પણ રજૂ કરી હતી અને મંત્રીને સૂચનો કર્યા હતા. આવાસ યોજના અંગે તેમણે માંગ કરી હતી કે, શહેરી વિસ્તારોમાં મકાન બનાવવા માટે જે ૩ થી ૫ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે, તેટલી જ રકમ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન બનાવનારાઓને પણ ફાળવવામાં આવે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી રકમ મળે છે. વધુમાં, ધારાસભ્યએ બોટાદ જિલ્લામાં મહિલા ITI કોલેજ સ્થાપવાની માંગ કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, બોટાદ જિલ્લામાં અત્યાર સુધી એક પણ મહિલા ITI કોલેજ બનાવવામાં આવી નથી. મહિલાઓ અને બાળકો માટે તેમણે ગુજરાતમાં ST બસ અને મેટ્રો ટ્રેનમાં 50 ટકા ટિકિટ કન્સેશન આપવાની પણ માંગ કરી હતી. છેલ્લે, મકવાણાએ મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેવા રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ માસિક સન્માન રાશિ આપવાની માંગ કરી હતી. તેમણે ઉદાહરણ આપ્યું કે પંજાબમાં મહિલાઓ માટે દર મહિને ₹1000 થી ₹1500 સન્માન રાશિની જાહેરાત કરવામાં આવી છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળને ફાયર સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી મોડી સાંજે કરવામાં આવી હતી. આ શોપિંગ સેન્ટરમાં બીજા અને ત્રીજા માળની માલિકી ડો. નીતિન બુદ્ધદેવની છે, જેને 'ચાણક્યપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માલિક દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી કે સાધનો મૂકવામાં આવ્યા ન હતા. મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિવિધ બહુમાળી બાંધકામો અને શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા સ્થળોને નોટિસ આપવામાં આવે છે અને જો નોટિસની અવગણના કરવામાં આવે તો મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરને અગાઉ ક્રમશઃ ત્રણ નોટિસ આપવામાં આવી હતી. નીચેના માળ પરની ૧૬ દુકાનોના માલિકોએ ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે બાંહેધરી આપી હતી. જોકે, ડો. નીતિન બુદ્ધદેવની માલિકીના બીજા અને ત્રીજા માળ માટે કોઈ તકેદારી લેવાઈ ન હતી અને નોટિસની અવગણના કરવામાં આવી હતી. આથી, ફાયર વિભાગની ટીમે આજે આ બે માળને સીલ કર્યા છે.
ગઢડામાં આશાવર્કર બેભાન:ડોક્ટર પર માનસિક ત્રાસનો આરોપ, હોસ્પિટલમાં દાખલ; ડોક્ટરે આરોપો નકાર્યા
ગઢડામાં એક આશાવર્કર અચાનક બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે કલાકની સારવાર બાદ તેમને ભાન આવ્યું હતું. આશાવર્કર ભૂમિકાબેન સોલંકીએ ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડો. ધર્મેશ દાણીધરીયા પર માનસિક ત્રાસ આપવાનો અને ખોટી રીતે નોટિસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમના મતે, આ કારણે જ તેમની તબિયત લથડી હતી. સોલંકીએ જણાવ્યું કે, તેઓ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ડોક્ટર દ્વારા નોટિસનો ખુલાસો આપવા માટે વારંવાર ફોન કરીને હેરાન કરવામાં આવતા હતા. આના કારણે તેમને ભારે તણાવ થયો અને અચાનક તેમની તબિયત બગડી. તેમણે આ મામલે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડો. ધર્મેશ દાણીધરીયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આશાવર્કરને સરકારના નિયમ મુજબની જ કામગીરી સોંપવામાં આવે છે અને તેમને કોઈ વધારાનું કામ આપવામાં આવતું નથી. ડો. દાણીધરીયાએ વધુમાં જણાવ્યું કે, આશાવર્કરના ભાઈએ ટેલિફોન પર કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હોવાથી તેમને નોટિસ આપવામાં આવી હતી.
હીટવેવની આગાહીને લઈને શાળા તંત્ર એલર્ટ:સ્કૂલ સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હીટવેવ 2026ની તૈયારીઓના ભાગરૂપે શાળાઓને કેટલીક ખાસ સૂચનાઓનું પાલન કરવા આદેશ અપાયો છે. સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયુંશાળાઓએ શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવું. ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન-એર (ખુલ્લામાં) વર્ગો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાલવાટિકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે સ્કૂલનો સમય બપોરે 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ છે, જે અંગે સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણીની સુવિધા, હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
દોષિતની આજીવન કારાવાસની સજા યથાવત:દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું
13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યોહાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં એકંદરે વિચારણા કરતાં એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે. જે સ્પષ્ટપણે અપીલકર્તાના અપરાધ તરફ નિર્દેશ કરે છે. જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, FIR, તબીબી પુરાવા, FSL રિપોર્ટ્સ અને અપીલકર્તાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષના કેસને નબળી પાડતી કોઈ વિરોધાભાસી કે વિસંગતતા ભરેલી સામગ્રી મળી આવી નથી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો છે. તેથી અપીલમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટઆ મામલે હાઈકોર્ટે IPCની કલમ 376 અને 302 હેઠળના ગુના માટે આરોપી પર લાદવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને બહાલી આપી છે. સાથે જ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે હુમલાની ક્રૂરતા અને દુષ્કર્મ પછી ગળું દબાવવાના કૃત્યથી સ્પષ્ટપણે હત્યાનો ઈરાદો અથવા ઓછામાં ઓછું મૃત્યુ સંભવિત પરિણામ હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપીની અપીલ ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ થાય છે. ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળીઆ કેસમાં ફરિયાદ પક્ષનો એવો આક્ષેપ હતો કે પીડિતાએ ગામમાં મોડી રાત્રે યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી આરોપી પીડિતાને તે સ્થળેથી લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે સવારે પીડિતા નજીકના ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવી હતી. તેથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને પોલીસે કલમ 376 અને 302 IPC હેઠળ FIR નોંધી હતી. તપાસ દરમિયાન, પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાના સ્થળનો પંચનામું તૈયાર કર્યું હતું. કપડાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી અને સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી. બંને ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારીતપાસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવા, તબીબી તપાસ કરાવવા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ મેળવવાનો પણ સમાવેશ થતો હતો. આ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓ સામે કલમ 376 અને 302 IPC હેઠળ ગુનાઓ માટે આરોપો ઘડ્યા હતા. ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને બંને ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ WTPની મુલાકાત લીધી:પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 5થી 9 ના વિદ્યાર્થીઓએ તા.12 માર્ચના રોજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ની એક દિવસીય શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયોમાં પાણીના શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ વિશેના પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ પૂરો પાડવાનો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અશુદ્ધ પાણીને ક્લોરિનેશન, સેડિમેન્ટેશન અને ફિલ્ટરેશન જેવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પીવાલાયક શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરવાની આધુનિક પદ્ધતિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. તેમણે વપરાયેલા ગંદા પાણીને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે તેની પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આવી શૈક્ષણિક મુલાકાતોથી વિદ્યાર્થીઓમાં પાણીના બચાવ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે છે. તે તેમને વ્યવહારિક જ્ઞાન અને સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે.આ પ્રવાસમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના વિજ્ઞાન શિક્ષકો અને અન્ય સ્ટાફ મિત્રો જોડાયા હતા. પ્લાન્ટના અધિકારીઓએ વિદ્યાર્થીઓના જિજ્ઞાસુ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબો આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા એકલી જીરું ઉપાડી રહી હતી ત્યારે એક યુવાને આ કૃત્ય આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મધ્યપ્રદેશની વતની પર પ્રાંતિય મહિલા તેમના પતિ અને અન્ય એક પરિવાર સાથે રક્ષાબંધન બાદ ખેતીકામ માટે પાટડી પંથકમાં આવ્યા હતા. તેઓ ગામડાના એક ભાઈના 30 વીઘાના ખેતરમાં ભાગીદારીમાં જીરાનું વાવેતર કરી મજૂરી કરતા હતા. ઘટનાના દિવસે, મહિલાના પતિ અને એમનો સાથી જીરાનો પાક ઉતારવા ખેતર માલિકના ઘરે ગયા હતા, જ્યારે અન્ય મહિલા બાજુના ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. આથી મહિલા ખેતર માલિકના ખેતરમાં બાકી રહી ગયેલું જીરું એકલા ઉપાડી રહ્યા હતા. આશરે બપોરના બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. તે સમયે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક તેમને નીચે પાડી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ યુવાને મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત જણાવશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. ધમકી આપીને યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહિલાએ રવીભાઈ રાજેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રાજકોટમાં સ્ટીલનું વેચાણ કરતા સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર સાથે રૂ.1.51 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2 શખ્સોએ આર. પી. સ્ટીલ પેઢીના નામે સ્ટીલ ખરીદવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ એક વખત પૂરું પેમેન્ટ આપ્યા બાદ પેમેન્ટમાં ધાંધિયા શરૂ કર્યા હતા. રૂ.3.74 કરોડમાંથી રૂ.2.23 કરોડ ચૂકવ્યા બાદ બાકીના પૈસા ન ચૂકવી ફોન બંધ કરી દીધો હતો. જે બાદ વેપારીએ બંને શખ્સોની પેઢી અને ઘર પર તપાસ કરી હતી. જોકે તેઓ મળી આવ્યા ન હતા. જેથી વેપારીએ બંને શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બંને શખ્સોએ ગોંડલ, શાપર વેરાવળ અને અમદાવાદમાં માલ લઈ નાણા ન આપ્યાના બનાવો બન્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત આપીએ છીએરાજકોટમાં સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર 54 વર્ષીય સંજયભાઇ પાણે ક્રાઇમ બ્રાન્ચમા આર.પી.સ્ટીલ પેઢીના પ્રોપરાયટર રૂષીકેશભાઇ પંકજભાઈ મહેતા અને કીશોરભાઈ સામે રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સનરાઇઝ કંપની શરૂ કરી હતી અને 2021માં સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું હતુ. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી જાહેરાત આપીએ છીએ. આ દરમિયાન માર્ચ 2025માં ઋષિભાઈ અને કિશોરભાઈએ કોન્ટેક્ટ કર્યો હતો. જેઓ આર. પી. સ્ટીલ નામની કંપની ધરાવતા હોવાનું કહ્યું હતું અને સ્ટીલની જરૂરિયાત વિશે વાત કરી હતી. ફરિયાદીએ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જે બાદ રૂ.12,08,460 નો સ્ટીલનો ઓર્ડર આપી નાણા આપી દીધા હતા.ત્યારબાદ રૂ.3,74,31,353 નો સ્ટીલનો માલ મોકલ્યો હતો. જોકે તેમાંથી રૂ.2,23,21,032 આપ્યા હતા અને બાકીના રૂ.1,50,37,980 આપ્યા નહીં. આ ઉપરાંત અગાઉના રૂ.72,347 મળી રૂ.1,51,10,321 આપવાના બાકી છે. બાકી નાણાં બાબતે અનેક વખત ફોન કરવા છતાં બંને દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા. જે પછી તપાસ કરતા આર. પી. સ્ટીલની સાઇટ બંધ હતી અને ઋષિકેશભાઈના ઘરે જતા ત્યાં પણ તેઓ મળી આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4),3(5) મૂજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ અને અર્બન મેનેજમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં હેરિટેજ મેનેજમેન્ટ વિષય પર એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના ઐતિહાસિક વારસા પ્રત્યે નાગરિકોને જાગૃત કરવાનો અને તેના સંરક્ષણમાં જનભાગીદારી વધારવાનો હતો. આ સેમિનારમાં હેરિટેજ ક્ષેત્રના નિષ્ણાંતો, સંશોધકો, વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હેરિટેજ સ્ટેક હોલ્ડર્સ સહિત અંદાજે 150 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વારસાના જતન માટે તજજ્ઞોનું માર્ગદર્શનકાર્યક્રમની શરૂઆતમાં ડેપ્યુટી કમિશનર રમ્ય કુમાર ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અમદાવાદના વૈશ્વિક વારસાના મહત્વ અને તેના પડકારો પર પ્રકાશ પાડતું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ટેકનિકલ સત્રમાં અ.વ.હે.સી. ટ્રસ્ટના આસિસ્ટન્ટ આર્કિટેક્ટ શિવાની શાહે લિસ્ટેડ હેરિટેજ મકાનોના રિસ્ટોરેશન માટેની અરજી પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેથી રહેવાસીઓ સરળતાથી પોતાના મકાનોનું સમારકામ કરાવી શકે. સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસા પર ગહન ચર્ચાઆ સેમિનારમાં બે મુખ્ય પેનલ ચર્ચાઓનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાપત્ય વારસો (Built Heritage) અને અમૂર્ત વારસો (Intangible Heritage) વચ્ચેના આંતરસંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચર્ચામાં મન્વિતા બારાડી, ડો. રીઝવાન કાદરી, રાજીવ પટેલ, પારૂલ ઝવેરી, આશિષ ત્રાંબડીયા, જીજ્ઞેશ મહેતા, પ્રો. શિવાનંદ સ્વામી, ભાવના રામરખિયાણી, ડો. માણેક પટેલ, અનિલ મુલચંદાણી, ઉત્પલા દેસાઈ, શ્યામ પારેખ અને જીજ્ઞા દેસાઈ જેવા નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. તેઓએ હેરિટેજ સંરક્ષણ સાથે જોડાયેલા આર્થિક પડકારો, બદલાતી જીવનશૈલી અને સાંસ્કૃતિક મેપિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. નાગરિકોના સૂચનો અને ભાવિ આયોજનકોટ વિસ્તારના રહેવાસીઓ અને વિવિધ હિતધારકોએ સંવાદ દરમિયાન પોતાની ચિંતાઓ અને અનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત લોકોએ AMC સમક્ષ મહત્વના સૂચનો મૂક્યા હતા અને વારસાને જીવંત રાખવા માટે સરકાર તેમજ નાગરિકોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે સહભાગીઓએ આ પરામર્શ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સેમિનાર નિયમિતપણે યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌ પ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 'ઓનલાઇન ગેમિંગ એક્ટ-2025' હેઠળ કાર્યવાહીગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે 'The Promotion and Regulation of Online Gaming Act-2025' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ-9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછાના 'ખેની બ્રધર્સ'ની ધરપકડસાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની 'આવિષ્કાર હાઇટ્સ'માં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જીગ્નેશ ભીમજીભાઈ ખેની (ઉ.વ. 40) અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેની (ઉ.વ. 36)ની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી ચાર મોંઘા દાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 'ઓલ પેનલ' વેબસાઈટ દ્વારા ચાલતો ખેલપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી 'ગોલ્ડી' નામના શખસના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelexch.app નામની વેબસાઈટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઈટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. મોબાઈલમાંથી મળ્યા સટ્ટાના પુરાવાધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 1.80 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ઓનલાઇન જુગારના નેટવર્ક પર પોલીસની વોચસુરત પોલીસના જણાવ્યા અનુસાર, નવા કાયદા હેઠળ હવે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ 'ગોલ્ડી'ની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઈટથી દૂર રહેવા અપીલ કરી છે.
વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોય કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી છે. સગીરાની ડિલિવરની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. દુષ્કર્મ પીડિતાને ગર્ભ રહી જતા ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતીવડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા.જેનો રીપોર્ટ આજે કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જે સગીરાના ગર્ભપાતના પક્ષમાં નહોતો. બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રિપોર્ટરિપોર્ટ મુજબ સગીરાના ગર્ભપાતમાં જોખમ રહેલું છે, આ જોખમ તે બાળકને જન્મ આપે તેના કરતા વધુ છે. વળી જો બાળક જીવતું જન્મે તો શ્વસનમાં તકલીફ અને હેમરેજ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તેને વેન્ટિલેટર ઉપર રાખવું પડી શકે તેમ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી નથી. ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે સગીરાને બાળકને જન્મ આપવામાં હોસ્પિટલ દ્વારા પૂરતી કાળજી સાથે મદદ કરવામાં આવે. બાળકના જન્મ બાદ સગીરાની ઈચ્છા જાણીને તેને ચાઈલ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવે. જો સગીરા પરિવાર સાથે રહેવા માણતી ન હોય તો તેને નારી સંરક્ષણ ગ્રુહમાં મૂકવામાં આવે. સગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશેસગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તેમજ ત્યારબાદ છ મહિના સુધી બાળક અને સગીરાની દેખરેખનો ખર્ચ પણ રાજ્ય આપશે. સગીરાને વ્યવસાયની તાલીમ આપવામાં આવે. સગીરાને ભણતર માટે ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઓથોરિટી નિર્ણય લે. આ સમગ્ર પ્રક્રિયા ઉપર DLSAના સેક્રેટરી નિરીક્ષણ કરશે. આ સમાચાર પણ વાંચોઃ28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી.(સંપૂર્ણ સમાચાર વાંચો)
વાપી દુષ્કર્મ કેસ: આરોપીની જામીન અરજી નામંજૂર:સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
વલસાડ જિલ્લાના વાપીમાં એક 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી વિકાસ રતિલાલ મીણાની જામીન અરજી વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કેસની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશની અને હાલ વાપીમાં રહેતી 15 વર્ષ અને 8 માસની કિશોરી ગત તારીખ 17મી મે, 2025ના રોજ સાંજે ગુમ થઈ હતી. સગીરાના પિતાએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો છે. ડુંગરા પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, આરોપી વિકાસ રતિલાલ મીણા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા આરોપી વિકાસ મીણાએ જામીન પર મુક્ત થવા માટે પ્રથમ વખત રેગ્યુલર જામીન અરજી કરી હતી. જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ જામીનનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ સગીરા સાથે ગંભીર ગુનો આચર્યો છે. જો તેને જામીન આપવામાં આવે તો કેસની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી સગીરાઓના જાતીય શોષણના કિસ્સાઓમાં કાયદાનું કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે તાજેતરમાં UPSC અને GPSC અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. કાર્યક્રમ દરમિયાન, અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી શિસ્ત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને કાર્યક્રમને લાભદાયક ગણાવ્યો. આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે NGES કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી UPSC અને GPSC માટે વિશેષ કોચિંગ ક્લાસિસ શરૂ કરવામાં આવશે. આ ક્લાસિસમાં Symbiosis Academy ના અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાજેતરમાં આ સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તા દર્શાવે છે. NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા UPSC અને GPSC ક્લાસિસમાં જોડાવા માટે રસ દર્શાવ્યો. આ પ્રસંગે NGES ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
શહેરના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલા ચાર રસ્તા નજીક ફાયર સ્ટેશનથી ડી - માર્ટ તરફ જવાના રોડ ઉપર ગેરકાયદેસર રીતે 25થી વધુ ખાણીપીણીની લારીઓ રોડ પર ઉભી રહેતી હોવાને લઈને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે 12 માર્ચના રોજ સાંજે ડ્રાઇવ કરીને 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી હતી. નવા બનાવેલા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દરરોજ ખાણીપીણી બજાર ઊભું કરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર લારીવાળાઓને લારી ન ઉભી રાખવાની સૂચના આપવા છતાં પણ દાદાગીરી કરી રોડ ઉપર લારી ઉભી રાખી ટ્રાફિક કરતા આજે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકો પોતાના વાહનો રોડ પર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છેનિકોલ ફાયર સ્ટેશનથી ડી- માર્ટ તરફ જવાના રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની બહારના ભાગે દરરોજ સાંજે 4 વાગ્યાથી મોડી રાત સુધી ખાણીપીણીની લાગી જાય છે. રોડ ઉપર લારીઓ મૂકી અને ખાણીપીણી બજાર શરૂ કરી દેવામાં આવે છે. ફૂડ કોર્ટની ગાડી લઈને પણ કેટલાક લોકો ટેબલ ખુરશી લગાવીને રોડ ઉપર જ ગેરકાયદે ખાણીપીણીનો ધંધો શરૂ કરી દીધો છે. રોડ ઉપર તારી અને ફૂડ કોર્ટની ગાડી લગાવવામાં આવી હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં આ બાબતે અવારનવાર ફરિયાદો અને અરજી કરવામાં આવી હતી, જેના પગલે આજે 12 માર્ચના રોજ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાંજે એસ્ટેટ વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રોડ પર જેટલી પણ લારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી છે, જેને હવે 90 દિવસ સુધી છોડવામાં આવશે નહીં.તેને ઉપાડી લેવામાં આવ્યું હતું. ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવીઅવારનવાર ભૂતકાળમાં પણ લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કેટલાક લારીવાળાઓ સ્થાનિક અસામાજિક તત્વોનો લાભ લઈને લારીઓ ચલાવતા હતા. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા હવે આ ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો હવે ખાણીપીણી બજાર શરૂ થશે તો પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે સૌપ્રથમ ચારથી પાંચ લારીઓ ઉભી રહેતી હતી હવે 25 જેટલી લારીઓ અને ફૂડ કોર્ટની ગાડીઓ ઉભી રહે છે. સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી ગેરકાયદેસર ખાણીપીણી બજાર ચલાવવામાં આવે છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે દૂર કરવા જાય ત્યારે તેમના સાથે લારી ધારકો દ્વારા ઘર્ષણ કરવામાં આવે છે. પોલીસ બંદોબત માનવામાં આવે છે પરંતુ, પોલીસનો સપોર્ટ ન હોવાના કારણે પણ હટાવી શકાતી નથી. મોડી રાત સુધી ખાણીપીણી બજારો ચાલતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નિકોલ પોલીસની પણ મિલીભગત હોવાની ચર્ચા છે. નવો રોડ બનાવવામાં આવ્યો છે છતાં પણ આવા રોડ ઉપર બજારો શરૂ થઈ ગયા છે તેને દૂર કરાવવા ભાજપના કોર્પોરેટરોને પણ આ લારીઓ હટાવવામાં રસ નથી.
ગોધરાની ડૉ. ઝાકીર હુસૈન હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મેડિકલ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રની વાસ્તવિક કામગીરી, શિક્ષણ અને સંશોધન પ્રક્રિયાની નજીકથી સમજ આપવાનો હતો. વિદ્યાર્થીઓએ ગોધરા સ્થિત શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SSHMC)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, દાહોદ રોડ નજીક કનેલાવ તળાવ પાસે આવેલી ફિઝિયોથેરાપી કોલેજની પણ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, કોલેજના નિષ્ણાત પ્રોફેસરો અને તબીબોએ વિદ્યાર્થીઓને હોમિયોપેથિક શિક્ષણ પદ્ધતિ, લેબોરેટરીમાં થતા વૈજ્ઞાનિક પ્રયોગો, દવાઓની તૈયારી પ્રક્રિયા અને રોગનિદાનની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં ચાલી રહેલા વિવિધ ટેસ્ટિંગ અને પ્રયોગોને નજીકથી નિહાળ્યા હતા. હોસ્પિટલ વિભાગમાં દર્દીઓની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, ડોક્ટરો કેવી રીતે દર્દીઓનું નિદાન અને સારવાર કરે છે તે અંગે પણ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળ્યો. હોમિયોપેથિક દવાઓ કેવી રીતે તૈયાર થાય છે અને તે દર્દીઓને કેવી રીતે આપવામાં આવે છે તેની પ્રેક્ટિકલ સમજ પણ અપાઈ હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં ચાલી રહેલા રિસર્ચ, નવીનતા અને ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દી સંભાવનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. આ પ્રકારના પ્રેક્ટિકલ એક્સપોઝરથી વિદ્યાર્થીઓમાં સાયન્સ અને મેડિકલ ક્ષેત્ર પ્રત્યેની રુચિ વધુ વધશે. સાથે સાથે ભવિષ્યમાં ડોક્ટર, હોમિયોપેથિક અથવા એલોપેથીક ફિઝિશિયન, ફિઝિયોથેરાપીસ્ટ, રિસર્ચર અથવા સાયન્ટિસ્ટ બનવાના તેમના સપનાઓને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવવામાં પણ મદદ મળશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે 13 માર્ચે સ્થાયી સમિતિની 64મી બેઠક મહત્વની સાબિત થવાની છે. આ બેઠકમાં કુલ 38 જેટલા વિવિધ લોકહિતના અને વહીવટી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવશે. આ બેઠકમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ફાયર વિભાગમાં ભરતીના વિવાદો અને નવા નિયમો અંગે પણ કમિશનર તરફથી મળેલી ભલામણો પર વિચારણા કરવામાં આવશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થશેઆવતીકાલે તા. 13 માર્ચના રોજ મળનારી સ્થાયી સમિતિની 64મી બેઠકમાં ફાયર ઓફિસર વર્ગ-2ની શૈક્ષણિક લાયકાત અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવનાર છે. ફાયર વિભાગને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે મનપા દ્વારા ફાયર ઓફિસર (વર્ગ-2) ની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે, જે અંગેની દરખાસ્ત આ સ્થાયી સમિતિમાં રજૂ થશે. અમદાવાદના જૂના વિવાદોને કારણે તેમની હાજરી પર પ્રશ્નાર્થ યથાવતબીજી તરફ ચીફ ફાયર ઓફિસર તરીકે અનિરુદ્ધ ગઢવીની નિમણૂકનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં અમદાવાદના જૂના વિવાદોને કારણે તેમની હાજરી પર પ્રશ્નાર્થ યથાવત છે. આ અગાઉ ઓમ જાડેજાની નિમણૂકમાં જે ટેક્નિકલ અવરોધો આવ્યા હતા એવી જ સ્થિતિ હાલ સર્જાઈ છે. જોકે, તંત્ર દ્વારા સબ ફાયર ઓફિસર અને સ્ટેશન ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં હોવાનું જણાવાયું છે. 138 જેટલા નવા ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટેની પરીક્ષાનું આયોજનઉપરાંત વિભાગમાં કાર્યરત જવાનોની સુવિધા માટે પણ આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાશે. ફાયર શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગણવેશ તેમજ તેને સંલગ્ન ચીજવસ્તુઓની ખરીદી માટે સુપ્રીમ એન્ટરપ્રાઈઝના ટેન્ડરમાં જથ્થા વધારા અંગે કમિશનરની ભલામણ પર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત 138 જેટલા નવા ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી માટેની પરીક્ષાનું આયોજન પણ ટૂંક સમયમાં થનાર છે.જેનાથી વિભાગનું માનવબળ બમણું થશે. 36 બગીચાઓના મેઈન્ટેનન્સની મુદ્દત વધારવા મહત્વના વિષયો એજન્ડા પર છેફાયર વિભાગ ઉપરાંત બેઠકમાં સેક્ટર-9 સરિતા ઉદ્યાન ખાતે વિન્ટર ફ્લાવર ફેસ્ટિવલ માટે એજન્સીની પસંદગી, રાયસણ ખાતે નિર્માણાધીન 26 દુકાનોની ફાળવણી અને શહેરના 36 બગીચાઓના મેઈન્ટેનન્સની મુદ્દત વધારવા જેવા મહત્વના વિષયો એજન્ડા પર છે. આ સાથે જ EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે અદાણી ટોટલ એનર્જીસ સાથે નેગોશિયેશન કરી કામ સોંપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે.આમ કાલે શુક્રવારની બેઠક ગાંધીનગરના આધુનિકીકરણ અને સુરક્ષા વ્યવસ્થા માટે નિર્ણાયક સાબિત થશે.
મહીસાગર જિલ્લામાં બાળલગ્ન અટકાવવાનો એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીર દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમયસરની માહિતી મળતા અટકાવવામાં આવ્યા છે. આ લગ્ન આજે રાત્રે યોજાવાના હતા. જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમને આ અંગે જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે પરિવારજનો અને ગામલોકોને બાળલગ્નના કાયદાકીય પરિણામો વિશે સમજાવ્યા હતા. અધિકારીઓની સમજાવટ બાદ બંને દીકરીઓના લગ્ન હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. પરિવારજનોને બાળલગ્ન પ્રતિબંધક કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. આ રીતે સમયસર મળેલી માહિતી અને તાત્કાલિક કાર્યવાહીથી બે સગીર દીકરીઓના બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસન અને બાળલગ્ન પ્રતિબંધક ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ક્યાંય પણ બાળલગ્ન થવાની જાણ થાય તો તરત જ તંત્રને જાણ કરી આ કુપ્રથાને રોકવામાં સહયોગ આપે.
ગોધરાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રોજગારની તકો પૂરી પાડવા આવા ફેરોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની વિવિધ કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેરમાં ભાગ લીધો હતો. પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી 25થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની લાયકાત અને કૌશલ્યના આધારે કંપનીઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપી ઇન્ટરવ્યૂ આપ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગાર માટે યોગ્ય માર્ગદર્શન અને તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈને પોતાની કારકિર્દી માટે મહત્વપૂર્ણ તકનો લાભ લીધો હતો.
નવસારી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. 8 માર્ચના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 115નો વધારો થયા બાદ ગેસના પુરવઠામાં અચાનક અછત સર્જાઈ છે. આ કારણે અનેક હોટલો પાસે માત્ર એક દિવસ ચાલે તેટલો જ ગેસનો જથ્થો બાકી છે, જેનાથી વેપારીઓની હાલત કફોડી બની છે. નવસારી હોટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જિલ્લામાં આશરે 200 મોટી અને 800 થી 900 નાની ખાણીપીણીની દુકાનો કાર્યરત છે. આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 પરિવારો જોડાયેલા છે. જો ગેસનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં થાય, તો વેઈટર, કારીગરો અને મજૂર વર્ગ સહિત આશરે 25,000 લોકો બેરોજગાર થવાનું જોખમ છે. 9 માર્ચથી કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોમર્શિયલ ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ધંધા બંધ રહેવા છતાં કારીગરોનો પગાર અને નિભાવ ખર્ચ સંચાલકો માટે કોરોના કાળ જેવો આર્થિક બોજ બની ગયો છે. હોટલ ઉદ્યોગ ઠપ થવાથી તેની સીધી અસર શાકભાજી વિક્રેતાઓ, દૂધ ઉત્પાદકો અને અન્ય સપ્લાયર્સ જેવા સંબંધિત વ્યવસાયો પર પણ પડી રહી છે. નવસારી હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાંડેએ જણાવ્યું હતું કે, અમારી પાસે ગેસનો સ્ટોક આજે પૂરો થઈ જશે. જો આવતીકાલ સુધીમાં નવો જથ્થો નહીં મળે તો અમારે એકમો બંધ કરવા પડશે. તેમણે ઉમેર્યું કે, કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તેમણે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવા સૂચન કર્યું છે જેથી પ્રશ્નનો વહેલો ઉકેલ આવી શકે. સ્થાનિક વેપારી મંડળ અને હોટલ સંચાલકોએ નવસારી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. તેમની મુખ્ય માંગ છે કે, સરકાર ગેસના વિતરણમાં સર્જાયેલી આ અછત અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરે અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા ગોઠવે, જેથી હજારો પરિવારોની આજીવિકા બચાવી શકાય.
ભરૂચમાં 14 માર્ચે CM વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે:કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તૈયારીઓની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં કાર્યક્રમ સ્થળે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તેથી, તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરી કામગીરી હાથ ધરવામાં આવે. સુરક્ષા અને નાગરિકોની સુવિધા બંનેને પ્રાથમિકતા આપીને કાર્યક્રમનું સફળ આયોજન થાય તે માટે તંત્ર સજ્જ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને પગલે વૈશ્વિક સ્તરે શરૂ થયેલી ઉર્જા કટોકટીની સીધી અસર હવે સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી રહી છે. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની અછત સર્જાતા નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓ પરંપરાગત ચૂલા પર નાસ્તો બનાવવા મજબૂર બન્યા છે. દમણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની લે-વેચ અચાનક બંધ થઈ ગઈ છે. આના કારણે સ્થાનિક નાના દુકાનદારો અને નાસ્તાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે, જેના પરિણામે તેઓ ફરજિયાતપણે પરંપરાગત રસોઈ પદ્ધતિઓ અપનાવવા તરફ વળ્યા છે. ગેસના અભાવે, આ નાના દુકાનધારકોએ હવે ઈંધણના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ શરૂ કર્યો છે. દમણના કેટલાક વિસ્તારોમાં નાસ્તાની દુકાન ચલાવતા વેપારીઓએ તેમના આધુનિક ગેસ સ્ટવને બાજુ પર મૂકીને પોતાની દુકાનમાં ઈંટો અને લાકડા ગોઠવી દેશી ચૂલા બનાવ્યા છે. તેઓ આ ચૂલા પર સમોસા અને અન્ય નાસ્તો બનાવતા નજરે પડી રહ્યા છે. આ પરિસ્થિતિ ભલે કટોકટીમાંથી ઉદ્ભવી હોય, પરંતુ તેના કારણે સ્થાનિક ગ્રાહકોને ફરી એકવાર પરંપરાગત રીતે લાકડાના ચૂલા પર બનેલા ગરમાગરમ સમોસા અને વડાપાંવનો એ જૂનો, સોડમભર્યો અને અસલ દેશી સ્વાદ ચાખવા મળી રહ્યો છે.
ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેલવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ તથા CAWACH કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ યોજાઈ હતી. આ પ્રવૃત્તિ દ્વારા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરવાની સમજ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત, ઓનલાઇન છેતરપિંડી, સાયબર બુલિંગ અને અન્ય સાયબર ગુનાઓથી બચવા અંગેની વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. સ્પર્ધામાં રજૂ થયેલા પોસ્ટરોનું મૂલ્યાંકન ગુજરાત યુનિવર્સિટીના સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક વિભાગના પ્રો. કશ્યપ જોશી અને GLS યુનિવર્સિટી, અમદાવાદના ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને આઈટી (પીજી)ના પ્રો. જતિન મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં. પ્રીયાન્શીબા જાડેજાએ પ્રથમ સ્થાન મેળવી ₹500નો રોકડ પુરસ્કાર જીત્યો હતો. દ્વિતીય ક્રમે દેવ્યનીબા રહેવરને ₹300 અને તૃતીય ક્રમે દિયા નાડોદાને ₹200નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં બાંધકામના ધંધાર્થીએ ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા પ્રોફિટની લાલચમાં આવી 39.22 લાખ ગુમાવ્યા છે. યુવાને ફેસબુકમાં આવેલ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી. ધારકે ગોલ્ડ ટ્રેડીંગમાં ઊંચા પ્રોફિટની વાત કરી હતી અને પોતાનો વોટ્સએપ નંબર યુવાનને આપ્યો હતો. જોકે, લિંક ઓપન કરતા જ ફેક વેબસાઈટ ખૂલી હતી અને ટ્રેડિંગમાં રૂપિયા રોક્યા હતા. જોકે, તે બાદ પૈસા ગુમાવતા યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં FIR નોંધાવી છે. આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી વાતચીત ચાલુ કરીઆ બનાવ અંગે કોઠારીયા વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય વિજય દોમડિયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈ.ડી. ધારક તેમજ અલગ-અલગ વોટ્સએપ નંબર અને અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપ્યુ હતુ. ફરિયાદીની ફેસબુક આઇડી પર મે 2025માં એક આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ બાંધકામના ધંધાર્થીએ એક્સેપ્ટ કરી હતી. જે બાદ બંનેએ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે દરમિયાન આરોહી અગ્રવાલ નામની આઇડી ધારકે પોતાના વોટ્સએપ નંબર આપી તેમાં વાતચીત ચાલુ કરી હતી. ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી જે પછી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો પ્રોફિટ મળે છે એવી લાલચ આપી હતી. જેથી, ફરિયાદી વિશ્વાસમાં આવી જતાં ફેસબુક આઈડી ધારકે તેમને વોટ્સએપમાં લિંક મોકલી તેમાં જોડાવવા માટે કહ્યું હતું. જેથી, ફરિયાદીએ તે લિંક ઓપન કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતાં. જેમા લિંક ઓપન કરતા એક વેબસાઈટ જોવા મળતી અને તેમાં ગોલ્ડ પર ટ્રેડીંગ થતું હોય તેના ભાવ બતાવવામાં આવતાં હતા. સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદજેથી તેઓએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વેબસાઈટમાં તેઓએ કરેલ રોકાણમાં ઊંચું પ્રોફિટ મળી રહ્યું છે તેવું દર્શાવવામાં આવતું હતું. જેથી તેઓ વધું રૂપીયા રોકાણ કરવાં લાગ્યાં હતાં અને તેઓએ ગોલ્ડ ટ્રેડિંગમાં કુલ રૂ.39.22 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓએ વળતર માટે વાત કરતાં અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે તેમ સામેવાળા તરફથી મેસેજ આવતાં તેઓ સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જેથી ફેસબુક આઈડી ધારક સહિતના સાયબર ગઠિયાઓ સામે 39.22 લાખની ફ્રોડની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિઝ વિભાગમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-1 થી વર્ગ-3 સુધીની ભરતી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વની ગણાતી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે અનિરુદ્ધ ગઢવીના નામનો ઓર્ડર ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિમણૂક સાથે જ જૂના વિવાદો ફરી સપાટી પર આવ્યા છે અને અનિરુદ્ધ ગઢવી ખરેખર ફરજ પર હાજર થશે કે કેમ તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અનિરુદ્ધ ગઢવીની ડિગ્રીના વિવાદ બાદ મામલો કોર્ટમાં પેન્ડિંગગાંધીનગર મનપાએ અનિરુદ્ધ ગઢવીને નિમણૂક પત્ર પાઠવી દીધો છે, પરંતુ તેમની સામે ભૂતકાળમાં અમદાવાદ ફાયર વિભાગમાં થયેલી કાર્યવાહી એક મોટું વિઘ્ન માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024માં અમદાવાદ મહાનગરપાલિકાએ નકલી દસ્તાવેજોના આધારે ફાયર ઓફિસરની ડિગ્રી મેળવવાના ગંભીર આરોપ હેઠળ 9 અધિકારીઓને એકસાથે બરતરફ કર્યા હતા. આ બરતરફ કરાયેલા અધિકારીઓમાં અનિરુદ્ધ ગઢવીનો પણ સમાવેશ થતો હતો. હાલમાં આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને કર્મચારીઓ સ્ટે ઓર્ડર પર હોવાથી ટેકનિકલ ગૂંચવણો યથાવત છે. ગાંધીનગરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે હાજર થવા માટે અનિરુદ્ધ ગઢવીને તેમના હાલના વિભાગમાંથી રીલીવિંગ ઓર્ડરની અનિવાર્યતા રહેશે. કોર્ટ મેટર ચાલતી હોવાને કારણે રીલીવિંગ મેળવવું મુશ્કેલ બની શકે તેમ છે. અગાઉ પણ આ જ પદ માટે ઓમ જાડેજાની પસંદગી થઈ હતી, પરંતુ સમાન કારણોસર તેઓ હાજર થઈ શક્યા ન હતા. પરિણામે અનિરુદ્ધ ગઢવીને પણ હાલના તબક્કે કન્ડિશનલ ઓર્ડરના આધારે હાજર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ફાયરની અન્ય જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા ચાલુએક તરફ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોમાં છે બીજી તરફ અન્ય કેડરમાં ભરતી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ફાયર ઓફિસર (વર્ગ-2) ની બે જગ્યાઓ માટેની મંજૂરી અંતિમ તબક્કામાં છે. સ્ટેશન ઓફિસરની કુલ 8 જગ્યાઓ પૈકી 4 જનરલ કેટેગરીના ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવાયા છે, જ્યારે બાકીના 4 ઉમેદવારોની જાતિ ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક અપાશે. આ ઉપરાંત, સબ ફાયર ઓફિસરની 5 જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણી ચાલુ છે. શહેરના વિસ્તરણ અને વસ્તીને ધ્યાને રાખીને ફાયર વિભાગમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતી ફાયરમેન કમ ડ્રાઈવરની 138 જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પારદર્શક રીતે કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નવી ભરતીઓથી આગામી સમયમાં ગાંધીનગર ફાયર વિભાગ માનવબળની દ્રષ્ટિએ વધુ સક્ષમ બનશે, જોકે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક પર મંડરાતા વિવાદના વાદળો ક્યારે શમે છે તે જોવું રહ્યું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા અને શ્રમિકોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માટે 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટોમોબાઇલ ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપવાનો છે. આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 8,000 થી વધુ યુવાનો બનશે EV એક્સપર્ટરાજ્યની ITIમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા 8,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુશી લાવનારા છે. હવે આ તાલીમાર્થીઓ માત્ર પુસ્તકિયા જ્ઞાન નહીં, પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સંબંધિત નવીનતમ ટેકનોલોજીની પ્રાયોગિક તાલીમ પણ મેળવી શકશે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા વ્યાપને જોતા, ભવિષ્યમાં આ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો સર્જાવાની છે. તેને પહોંચી વળવા માટે સરકારે આધુનિક ટેકનોલોજીથી સજ્જ 40 કાર ફાળવી છે, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે. નવી ટેકનોલોજી અને ઉદ્યોગોની માંગવર્તમાન સમયમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી છે. બેટરી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક પાવરટ્રેન અને એમ્બેડેડ સોફ્ટવેર ક્ષેત્રે નિષ્ણાતોની માંગ સતત વધી રહી છે. ઉદ્યોગોને કુશળ મેનપાવર મળી રહે તે માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે સિલેબસ આધારિત આ ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવી છે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ નવીનતમ મશીનરી અને સર્કિટ સિસ્ટમ વિશે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકશે, જે તેમને ખાનગી કંપનીઓમાં સારા પગારની નોકરી મેળવવામાં મદદરૂપ થશે. શ્રમિકોના દ્વારે ‘ધનવંતરી આરોગ્ય રથ’માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા મુખ્યમંત્રીએ આ જ કાર્યક્રમમાં 50 નવા 'ધનવંતરી આરોગ્ય રથ' અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું છે. બાંધકામ ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને તેમના ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથ ખાસ કરીને એવા શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ સમયના અભાવે અથવા આર્થિક સંકડામણને કારણે હોસ્પિટલ જઈ શકતા નથી. સ્થળ પર જ નિદાન અને મફત દવાઓઆ ધનવંતરી આરોગ્ય રથમાં તાવ, ઝાડા-ઉલટી અને ચામડીના રોગો જેવી સામાન્ય બીમારીઓની સારવાર તો મળશે જ, સાથે સાથે બ્લડ સુગર, મેલેરિયા, પેશાબ અને લોહીની તપાસ જેવી લેબોરેટરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સગર્ભા મહિલાઓની તપાસ અને બાળકોના આરોગ્યની સુરક્ષા માટે પણ વિશેષ નિદાન કરવામાં આવશે. આ તમામ સેવાઓ અને જરૂરી દવાઓ શ્રમિકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે, જેથી ગંભીર બીમારીઓને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. રાજ્યભરમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અગાઉથી જ 154 રથ અને 25 મેડિકલ વાન કાર્યરત હતી. હવે નવા લોકાર્પણ સાથે રાજ્યના 34 જિલ્લાઓમાં કુલ 206 ધનવંતરી આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત થઈ ગઈ છે. આ આંકડો દર્શાવે છે કે સરકાર છેવાડાના શ્રમિક સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, લેબર કમિશનર લાખાણી તેમજ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરકારની આ ડ્યુઅલ પહેલથી એક તરફ યુવાનોને 'સ્કીલ્ડ ઇન્ડિયા' હેઠળ રોજગાર મળશે અને બીજી તરફ શ્રમિકોને 'સ્વસ્થ ભારત' અંતર્ગત સુરક્ષા કવચ પ્રાપ્ત થશે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલા યાગરાજનગર સહિતના વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને સાથે રાખી મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. 'આપ' શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, વોર્ડ-3ની યાગરાજનગર સોસાયટીમાં છેલ્લા 7 થી 8 વર્ષથી લોકો વસવાટ કરે છે અને નિયમિત વેરો ભરે છે, તેમ છતાં અહીં રોડ-રસ્તા, ગટર, પાણી કે સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ શૂન્ય છે. જો વેરા ભર્યા છતાં પણ સુવિધાઓ ન મળતી હોય તો શું તેઓ પાકિસ્તાનમાં રહે છે? અત્યાર સુધીમાં આ પ્રશ્નો અંગે કુલ 36 વાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર નિદ્રાધીન છે. ભાજપના નેતાઓના પ્લોટ જ્યાં આવેલા છે ત્યાં મકાનો ન હોવા છતાં પાકા રોડ બનાવી દેવાયા છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય છે અને પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી. રિંગ રોડથી અડધો કિલોમીટરના અંતરે આવેલી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ અને આંગણવાડીની પણ વ્યવસ્થા નથી. ત્યારે અહીં વહેલી તકે કામ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મનો સ્ટોક ખૂટી પડતા દર્દીઓ પરેશાન, 3 કલાક સુધી મશીનો ઠપ્પ રહ્યા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મોનો સ્ટોક અચાનક ખાલી થઈ જતાં ગઈકાલે બપોર પછી 3 કલાક સુધી એક્સ-રે મશીનો બંધ હાલતમાં રહ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં દરરોજ 1000 થી 1200 જેટલી એક્સ-રે ફિલ્મની જરૂરિયાત રહે છે. આમ છતાં, ખરીદી પ્રક્રિયામાં થયેલી ગરબડ કે આયોજનના અભાવે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. એક્સ-રે સુવિધા બંધ થવાને કારણે અકસ્માત અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે દર્દીઓના સગાંઓએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રોમા સેન્ટરના DR રૂમમાં પણ ફિલ્મો ઉપલબ્ધ નહોતી, જ્યારે જનાના હોસ્પિટલના એક્સ-રે મશીનો નાની ક્ષમતાના હોવાથી ત્યાં હાડકાં કે મગજના એક્સ-રે લઈ શકાતા નથી. આ ટેકનિકલ મર્યાદાને કારણે નાના બાળકોને પણ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં લાવવા પડ્યા હતા, જ્યાં મશીનો બંધ હોવાથી વાલીઓની હાલત કફોડી બની હતી. જોકે લોકોનો આક્રોશ વધતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક અસરથી એક્સ-રે ફિલ્મનો જથ્થો મંગાવી કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર બાદ સેવાઓ પૂર્વવત થઈ હતી. રાજકોટ મનપામાં દિવ્યાંગો માટે ખાસ ભરતી થશે, 41 જગ્યાઓ માટે 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે અમદાવાદ મહાનગરપાલિકાની રાહ પર હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મેડિકલ ઓફિસરથી માંડીને મદદનીશ પર્યાવરણ ઇજનેર સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ 41 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 14 જગ્યાઓ, બધિર અને ઓછું સાંભળનારા માટે 15 જગ્યાઓ, હલનચલનની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે 3 જગ્યાઓ અને એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 9 જગ્યા ફાળવવામાં આવી છે. લાયક ઉમેદવારો આગામી તા. 23 માર્ચ સુધીમાં ઓનલાઇન માધ્યમથી પોતાની અરજી નોંધાવી શકશે. આ ભરતીમાં જુદા જુદા વિભાગો મુજબ જગ્યાઓની વહેંચણી કરવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્કની સૌથી વધુ 12 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેનેટરી ઇન્સ્પેક્ટરની 4, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)ની 3, ફિલ્ડ વર્કરની 4, લાઇનમેનની 2 અને એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેક્ટરની 2 જગ્યાઓ પર ભરતી થશે. મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન, જુનિયર ફાર્માસિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક અને મદદનીશ પર્યાવરણ ઇજનેર જેવી ટેકનિકલ અને વહીવટી શાખાઓમાં પણ 1-1 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ ખાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારીની સમાન તકો પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
હિંમતનગર પાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા યોજાઈ:મંગળવારથી વહીવટદારનું શાસન શરૂ થશે
હિંમતનગર નગરપાલિકાની છેલ્લી ખાસ સામાન્ય સભા ગુરુવારે યોજાઈ હતી. આ સભામાં 36 સદસ્યોમાંથી માત્ર 21 સદસ્યો હાજર રહ્યા હતા. સોમવારે વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થતાં મંગળવારથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન શરૂ થશે. આ સભા ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં ગુરુવારે સાંજે 4.30 કલાકે પ્રમુખ વિમલ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, ઉપપ્રમુખ સવજીભાઈ, વર્ષાબેન સુથાર, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, અન્ય સદસ્યો અને વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા. સોમવારે સાંજે પાલિકા સદન આગળ યાદગીરીનો છેલ્લો ફોટો સેશન થશે. આગામી સમયમાં હિંમતનગર રીવરફ્રન્ટ ફૂડ કોર્ટ સેક્શનમાં 350 થી 400 લોકોની સર્ક્યુલર સીટિંગ કેપેસિટી સાથે એમ્ફીથિયેટર અને સ્ટેજ ફેસિલિટી વિકસાવવામાં આવશે. હિંમતનગર હાટ માટે નિર્ધારિત શેડ એરિયાનું નવીનીકરણ કરાશે, જેથી પ્રદર્શની અને એક્ઝિબિશન માટે જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે. ખાણીપીણી વિસ્તારની બાજુમાં આવેલી 6000 ફૂટની જગ્યામાં ઇવેન્ટ સેન્ટર પણ વિકસાવવામાં આવશે. બોર અને સંપ પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેનાથી વીજળી બિલમાં ઘટાડો થશે. ભોલેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અંતિમધામના નવીનીકરણ અને આધુનિકીકરણનું પણ આયોજન કરાયું છે. વ્યવસાય વેરાના નિયમોનું સરળીકરણ પણ કરવામાં આવશે.
ગુજરાતમાં હેલ્થ કેર એટેન્ડન્ટ કોર્સ શરૂ:અરવલ્લી સહિત 12 જિલ્લામાં એકસાથે ઉદ્ઘાટન
ગુજરાતભરમાં હેલ્થ કેર એટેન્ડન્ટ સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ છ માસનો વિનામૂલ્યે કોર્સ શરૂ કરાયો છે.અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની શાખામાં પણ તેનું ઉદ્ઘાટન થયું. આ કોર્સ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, ગુજરાત CSR ઓથોરિટી અને GSFC ના CSR સહયોગથી તથા કૌશલ્ય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યો છે. રાજ્યના કુલ 12 જિલ્લાઓમાં એકસાથે તા. 12 માર્ચ, 2026ના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતેના કાર્યક્રમનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ પ્રસંગે 30 વિદ્યાર્થીઓએ કોર્સમાં પ્રવેશ મેળવી તાલીમ માટે જોડાણ કર્યું. જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપવા પ્રેરણા આપી. રેડ ક્રોસ દ્વારા તેમનું શાલ અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કોર્સનો મુખ્ય હેતુ યુવાનોને આરોગ્યલક્ષી કૌશલ્યમાં તાલીમ આપવાનો છે.આનાથી તેઓ સમાજને અસરકારક રીતે સેવા આપી શકશે અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેડ ક્રોસ અરવલ્લીના ચેરમેન ભરતભાઈ પરમાર, સેક્રેટરી રાકેશભાઈ જોષી, કારોબારી સભ્યો જીતેન્દ્રભાઈ અમીન, કે.કે. શાહ, વનિતાબેન પટેલ, કનુભાઈ પટેલ અને સ્ટાફ ગણ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
દાહોદ હાઈવે પર ગઈકાલે પલટી ગયેલી એક ખાનગી લક્ઝરી બસમાં આજે રિપેરિંગ દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી. ગેસ વેલ્ડિંગ કરતી વખતે તણખલો ઉડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના દાહોદ હાઈવે પર બની હતી. ગઈકાલે એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ રોડની નીચે ખાડામાં પડી હતી. આજે બસના માલિક દ્વારા ક્રેઈન અને મિકેનિક્સની મદદથી બસને રોડ પર લાવવાની અને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે બસના ટાયરો બદલવાની અને અમુક ભાગોને છૂટા પાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાતાવરણમાં હવાનું જોર વધુ હોવાથી વેલ્ડિંગમાંથી નીકળેલી તણખલી બસના જ્વલનશીલ ભાગો સુધી પહોંચી ગઈ. પવનના કારણે આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. થોડી જ વારમાં બસનો મોટાભાગનો હિસ્સો બળીને ભડથું થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. સદનસીબે, આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફરો ન હતા અને બસ રોડની નીચે હોવાથી અન્ય વાહનોને અસર થઈ ન હતી. આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ માલિકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
દાહોદ જિલ્લામાં ઘરેલું LPGના પુરવઠાની અછતને રોકવા માટે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્ય પૂર્વની અસ્થિર પરિસ્થિતિને કારણે LPGના પુરવઠાને સુનિશ્ચિત કરવા અને કાળાબજારી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઘરેલું LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. કલેક્ટરે તમામ સેલ્સ ઓફિસરોને હાજર રાખીને વિગતવાર સૂચનાઓ આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહકને બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછા ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો કડક અમલ કરવામાં આવશે જેથી દરેકને સમયસર અને નિયમિત પુરવઠો મળી રહે. કલેક્ટરે વધુમાં ચેતવણી આપી હતી કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ અને નક્કી કરેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદાકીય ગુનો છે. આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફોજદારી પગલાં લેવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ એજન્સીઓએ વિતરણ સુવ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. કોઈપણ વિસ્તારમાં અછત જણાશે તો તાત્કાલિક તપાસ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગેસ એજન્સીઓએ ગ્રાહકોની ફરિયાદોનું પણ ત્વરિત નિવારણ કરવું જોઈએ. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા સહિત તમામ સેલ્સ ઓફિસરો હાજર રહ્યા હતા. કલેક્ટરે આ તમામ સૂચનાઓનો કડક અમલ કરવા અને જિલ્લામાં LPGની કોઈ અછત ન થાય તેની સતત મોનિટરિંગ કરવાની સૂચના આપી હતી.
ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીની જૂની અદાવતને કારણે મિત્રએ મિત્ર પર તલવારથી જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સદામ શેખ નામના શખસે તેના મિત્ર રવિભાઈ પર તેમની પત્નીની હાજરીમાં જ તલવારથી હુમલો કરતા તેમને બન્ને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે બોલાચાલીનિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા રવિભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.36) એ ફરિયાદ નોંધાવી હતી કે, આશરે બે વર્ષ પહેલા તેમના મિત્ર સદામભાઈ ચાંદભાઈ શેખ (રહે. ચાવડીગેટ મીર્ઝા લાઈટની બાજુમાં, ભાવનગર) સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. તે દરમિયાન પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા સંબંધોમાં તણાવ સર્જાયો હતો અને ત્યારબાદ આજદીન સુધી તેઓ એકબીજા સાથે બોલતા ન હતા. પત્નીની નજર સામે પતિ પર તલવારથી હુમલોગત રાત્રે રવિભાઈ પોતાની પત્ની સાથે દુકાનેથી સ્કૂટર પર ચાવડીગેટ મીર્ઝા લાઈટ પાસે આવેલી વેલ્ડિંગ રિપેરીંગની દુકાને કામસર ગયા હતા અને ત્યાં દુકાન માલિક સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે સદામ ચાંદભાઈ શેખ, જે દુકાનની બાજુમાં જ રહે છે, પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યા અને રવિભાઈ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રવિભાઈના બન્ને હાથ પર તલવારના ઘા માર્યા હતા. પોલીસે સદામ શેખ સામે ગુનો નોંધ્યોહુમલા વખતે “મારા ઉપર ખોટો કેસ શા માટે કર્યો?” એમ કહી ધમકી આપી હતી. બાદમાં સદામ શેખ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત રવિભાઈ પોતાની પત્ની સાથે સ્કૂટર પર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સદામ ચાંદભાઈ શેખ રહે. ચાવડીગેટ, ભાવનગર સામે BNS કલમ 118(1) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેએ ગેર-ભાડા આવક (NFR) ક્ષેત્રે વિશિષ્ટ સફળતા હાંસલ કરી સતત બીજા વર્ષે ભારતીય રેલવેમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતામાં રાજકોટ ડિવિઝનનો સિંહફાળો રહ્યો છે. ચર્ચગેટ સ્થિત મુખ્યાલય ખાતે આયોજિત એક વિશેષ સમારંભમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (PCCM) તરુણ જૈન દ્વારા આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવતર પ્રયોગો દ્વારા 4.01 કરોડની કમાણીનાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ ડિવિઝને પોતાની સૂઝબૂઝ અને આધુનિક અભિગમથી કુલ 4.01 કરોડની ગેર-ભાડા આવક એકઠી કરી છે. વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વાણિજ્ય વિભાગે અનેક નવીન પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા હતા. જેમાં પ્રથમ વખત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત જાહેરાત પ્રણાલી, ટ્રેનની માહિતી સાથે LED ડિસ્પ્લે, ગેમ ઝોન અને વેગન સફાઈ સેવા જેવા કરારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેશન બહાર પાર્કિંગ, ગુડ્સ શેડમાં કેન્ટીન અને પૂજા સામગ્રીના કિયોસ્ક દ્વારા પણ આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. રાજકોટના આ રત્નો થયા સન્માનિતરેલવેની પ્રતિષ્ઠા વધારવા અને આવકમાં વૃદ્ધિ કરવા બદલ રાજકોટ ડિવિઝનના 4 મહાનુભાવોને એવોર્ડ એનાયત કરાયા હતા સુનીલ કુમાર મીના – વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક, રાજકોટ હિતેશ જોશી – સહાયક વાણિજ્ય પ્રબંધક, રાજકોટ ચંદ્રસિંહ ઝાલા – તત્કાલીન મુખ્ય વાણિજ્ય નિરીક્ષક, રાજકોટ (હાલ ACM – ચર્ચગેટ) અમિત જોશી – રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટ આ કાર્યક્રમમાં મુખ્ય વાણિજ્ય પ્રબંધક (યાત્રી સેવાઓ) સ્વપ્નિલ વાલિંગકર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિવિઝનની આ કામગીરીએ પશ્ચિમ રેલવેને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સીઓ પર સઘન તપાસ:કલેક્ટરના આદેશથી સંગ્રહખોરી ડામવા કાર્યવાહી શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને સંગ્રહખોરી અટકાવવા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશથી પુરવઠા વિભાગે વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સંકલન હેઠળ આ ઝુંબેશ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ચલાવવામાં આવી રહી છે. સંબંધિત તાલુકાના મામલતદારો અને ફિલ્ડ સ્ટાફની ટીમોએ ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાનો છે. તપાસમાં, ખાસ કરીને ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ છે. દરેક એજન્સીએ નિયત સ્ટોક જાળવી નિયમ મુજબ વિતરણ કરવું અનિવાર્ય છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના હિતનું રક્ષણ કરવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે.
પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન માટે કાર્યરત ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશેષ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં સરકારી વિજ્ઞાન કોલેજ, સેક્ટર-15, ગાંધીનગરના બોટની વિષયના 12 વિદ્યાર્થીઓએ 120 કલાકની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવહારિક કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. આ ઇન્ટર્નશિપ 9ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમિયાન યોજાઈ હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને 4 શૈક્ષણિક ક્રેડિટ મળે છે. આ કાર્યક્રમ NEP ના માપદંડોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને બોટની વિષયના વિવિધ પાસાઓ અંગે વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં ક્ષેત્રિય અભ્યાસ દ્વારા કુદરતી પરિસ્થિતિમાં વનસ્પતિનો અભ્યાસ, પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ, ડેટા મેનેજમેન્ટ હેઠળ માહિતી સંગ્રહ અને વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ, તેમજ પર્યાવરણીય અભ્યાસમાં ઇકોલોજી અને વનસ્પતિ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઇન્ટર્નશિપના સમાપન પ્રસંગે ગીર ફાઉન્ડેશનના નિયામક અને નાયબ નિયામક દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિયામકે જણાવ્યું હતું કે આવી ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.
બે વર્ષ પહેલા અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને યુવક દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતા યુવતી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવકના મારથી યુવતીએ બૂમો પાડતા યુવકે કહ્યું હતું કે, જો હવે બૂમો પાડીશ તો તારા ટુકડા કરીને થેલામાં ભરી દઈશ. પીડિતાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અને સલમાને 2024માં કોર્ટ મેરેજ કર્યા હતાઆ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025માં તેણીને ખબર પડી કે તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો. તેમ છતાં ઘર ન ભાંગે તેવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી,2026 ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. પતિએ પત્નીને કહ્યું- 'હવે બૂમો પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ'મહિલા, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે તારે મારી સાથે રહેવું છે કે નહીં? ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગદ્દા-પાટુથી માથા પર માર માર્યો. તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાળઝાળ ગરમી સામે તંત્ર સજ્જ:શહેરમાં 22 સ્થળોએ વિનામૂલ્યે ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી
હાલમાં ઉનાળાની ઋતુમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે નાગરિકોને હીટસ્ટ્રોક (લૂ લાગવા) અને ડી-હાઈડ્રેશન જેવી ગંભીર સમસ્યાઓથી બચાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મનપા દ્વારા આવતીકાલથી શહેરના મુખ્ય 22 વિવિધ જાહેર સ્થળો પર ઠંડા પાણી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન)ના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવીઆરોગ્ય વિભાગની પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં વધતી ગરમી મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા લોકો અને શ્રમિકોને ગરમીથી સુરક્ષા મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તંત્ર દ્વારા શહેરના નીચે મુજબના 22 મુખ્ય સર્કલો અને ચોક પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં નિલમબાગ સર્કલ, R.T.O. સર્કલ, સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, મંત્રેશ સર્કલ, સર્કલ, રામમંત્ર મંદિર સર્કલ, ભગવતી સર્કલ, કુંભારવાડા સર્કલ, બોરડી ગેટ ચોક, ગંગાજળિયા તળાવ, ખારગેટ ચોક, શિશુવિહાર સર્કલ, કાળાનાળા સર્કલ, જશોનાથ સર્કલ, લીલા સર્કલ, વિરાણી સર્કલ, દિલબહાર ESR, ક્રેસન્ટ સર્કલ તથા ચાવડી ગેટ ચોક સહિતના સ્થળો પર ઉપલબ્ધ બનશે. મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને જનસંપર્ક અધિકારી દ્વારા લોકોને ગરમીમાં સાવચેત રહેવા અને જરૂર જણાયે આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

28 C