ચારુસેટ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ (FTE) દ્વારા આયોજિત વાર્ષિક ટેકનિકલ ફેસ્ટ ‘CognizanceX'26’નું ગુરુવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં સવારે 10 વાગ્યે યોજાયેલા આ સમારોહમાં સોજીત્રાના ધારાસભ્ય અને CHRFના પ્રમુખ વિપુલ પટેલની ઉપસ્થિતિમાં આકાશમાં બલૂન ઉડાવી ટેક-ફેસ્ટને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નોલેજ અને ઇનોવેશનના પ્રતીક સમાન વિશેષ સોવેનિયર ‘અધ્યાય’નું લોન્ચિંગ કરાયું હતું. ત્યારબાદ ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે CognizanceX'26 ના ઔપચારિક પ્રારંભની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉ. બીનિત પટેલ, FTEના ડીન ડૉ. વિજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના વડાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. બંકિમ પટેલ, ડૉ. તૃષિત ઉપાધ્યાય, ડૉ. અમિત ઠક્કર, ડૉ. નિકિતા ભટ્ટ, ડૉ. પૂર્વી પ્રજાપતિ, ડૉ. વિજય પંચાલ, ડૉ. નિલય પટેલ, ડૉ. નિરવ ભટ્ટ, ડૉ. દ્વિપના ગર્ગ, ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. અમિત નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટમાં વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ, વર્કશોપ્સ અને પ્રોજેક્ટ પ્રદર્શનો યોજાશે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉત્સવમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જે પ્રાયોગિક શિક્ષણ અને સહયોગની ભાવનાને વેગ આપશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં જળસંચય અને પૂર સંરક્ષણ માટે ₹1.05 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સમાં ચેકડેમ નિર્માણ, નદીઓને ઊંડી ઉતારવી અને પૂર સંરક્ષણ દીવાલોના કામોનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મહેશ કસવાલાના પ્રયાસોથી આ મંજૂરી પ્રાપ્ત થઈ છે. મંજૂર થયેલા કામોમાં બાઢડા નદીને ઊંડી ઉતારવા માટે ₹37.92 લાખ, શેલણા નદી પર નવો ચેકડેમ બનાવવા માટે ₹28.07 લાખ, ઘાંડલામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹22.78 લાખ અને મેરીયાણામાં પૂર સંરક્ષણ દીવાલ માટે ₹17.12 લાખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી તાલુકામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી ખેતી અને પશુપાલનને સીધો લાભ મળશે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન નદીઓમાં આવતા પૂરનું જોખમ ઘટશે અને ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોને નુકસાન થતું અટકશે. નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં પણ સુધારો થશે. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ વિકાસકાર્યોને સાવરકુંડલા તાલુકા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળસિંચન મંત્રી ઈશ્વરભાઈ પટેલનો તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂ ઝડપાયો:1248 બોટલ સાથે એક પકડાયો, રાજકોટના શખસની શોધખોળ
મોરબી પોલીસે બેટરીના પાણીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા લાવવામાં આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 બોટલ દારૂ, એક રિક્ષા સહિત ₹4,57,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટના એક શખ્સની શોધખોળ ચાલી રહી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, જેમાં જયદીપ દેવસુર, કિશોર મિયાત્રા અને પૃથ્વીરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે, પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે વરણીરાજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેટરીના પાણીના પેકિંગની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 6 ના નાકા પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાર્સલ લોડિંગ માટે ઊભેલી GJ 3 BX 5810 નંબરની રિક્ષા મળી આવી હતી. રિક્ષાચાલક તોફિકભાઈ મહેબૂબભાઈ બુખારી (ઉં.વ. 26, રહે. શક્તિ ચોક, ખાટકીવાસ, મોરબી) ને પોલીસે પૂછપરછ કરી હતી. તેણે રિક્ષામાં રહેલા બોક્સમાં બેટરીનું પાણી હોવાનું જણાવ્યું હતું અને રાધે એન્ટરપ્રાઇઝ, વાપી જીઆઈડીસીનું બનાવટી બિલ રજૂ કર્યું હતું. પોલીસે રિક્ષામાં રહેલા બોક્સની તપાસ કરતા તેમાંથી 18 બોટલ બેટરીનું પાણી અને જુદી જુદી બ્રાન્ડની કુલ 1248 નાની બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹4,05,600 ની કિંમતનો દારૂ, ₹1,800 ની કિંમતનું બેટરીનું પાણી અને CNG રિક્ષા સહિત કુલ ₹4,57,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી તોફિકભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના સાહિલ હનીફભાઈ પરમારે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને તે તેને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, સાહિલ પરમારને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા એક ઝીંગા વેપારી પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા-કરતા ચપ્પુ બતાવી વેપારીની પત્નીને બાનમાં લેનારની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. કોરોનાકાળમાં 5 ટકા વ્યાજે આરોપી પાસેથી પૈસા લીધા હતાપાલનપુર પાટિયાની દીનદયાળ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ઝીંગા વેપારી સુશીલ દીનેશ પટેલ આ કેસમાં ભોગ બનનાર છે. વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન ધંધામાં મોટું નુકસાન જતાં તેમણે આર્થિક મદદ માટે અડાજણના ફાયનાન્સર આનંદ બાલુભાઇ ચાંસીયા (આરોપી) નો સંપર્ક કર્યો હતો. આનંદે 5% માસિક વ્યાજે રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને શરત મુજબ સુશીલભાઈએ તેમના વતન ઓલપાડના મંદ્રોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ સિક્યુરીટી પેટે જમા કરાવ્યા હતા. આ શરતે તેમણે ટુકડે-ટુકડે કુલ રૂ. 51 લાખ વ્યાજે લીધા હતા. પત્નીના દાગીના વેચીને 85 લાખથી વધુની રકમ ચૂકવી હતી2 વર્ષના નિર્ધારિત સમયમાં રૂપિયા પરત ન થતા આરોપી આનંદે અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર વેપારીના ઘરે જઈ ગાળાગાળી અને ઉઘરાણી કરતો હતો. સુશીલભાઈએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેમજ પત્નીના દાગીના વેચીને અત્યાર સુધીમાં કુલ 85 લાખ ચુકવી દીધા હતા તેમછતાં આરોપીની લાલચ સંતોષાઈ નહોતી. તેણે ધાકધમકી આપી વર્ષ 2023માં મંદ્રોઈ ગામની જમીનનો દસ્તાવેજ પોતાના નામે પણ કરાવી લીધો હતો. ત્યારબાદ વર્ષ 2024 સુધીમાં વધુ પૈસા ચૂકવ્યા હતા, જેમાં વતનની જમીન સસ્તા ભાવે વેચીને. 45 લાખ રોકડા અને 10 લાખ આનંદની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પત્નીને ચપ્પુ બતાવી બાનમાં લીધીહદ તો ત્યારે થઈ જ્યારે વેપારીએ મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં આરોપીએ તેના વેપારીને જમીનના કાગળો પરત આપ્યા ન હતા. આરોપી આનંદ સુશીલભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેમની પત્નીને ચપ્પુ બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે 5 વર્ષના બાકી વ્યાજના નામે વધુ 35 લાખની માંગણી કરી આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ વેપારીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખંડણીખોર આરોપી આનંદ ચાંસીયાની ધરપકડ કરી છે.
સુરતમાં પુણા-કુંભારિયા રોડ સરદાર માર્કેટની બહાર ભરાતા શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં કુખ્યાત ટોળકીના ઉઘરાણાનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસ-પાલિકાના નામે હપ્તાખોરીનું એકહથ્થું શાસન ચલાવતી ગેંગ પર પોલીસ કાર્યવાહી કરે તેવી માગ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. હાલ તો આ મામલે પુણા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે અને હપ્તાખોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે ત્યાં નજીકમાં જ ખુલ્લેઆમ દારૂ પીનારાઓને પણ પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. છેલ્લાં ઘણા વર્ષથી માલિયા ગેંગનો આતંકસરદાર માર્કેટની બહાર વર્ષોથી શાકભાજી બજાર ભરાય છે. અહીં શાકભાજીવાળા, ફૂટવળા પાથરણા પાથરી છૂટકમાં ધંધો કરે છે. જોકે, છેલ્લાં ઘણાં વર્ષોથી આ માર્કેટ પર નામચીન માલિયા ગેંગનો ઈજારો હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી-લુખ્ખાગીરી કરી પાથરણાવાળાઓ પાસેથી હપ્તાવસૂલી કરાઈ રહી છે. પોલીસ અને પાલિકા તંત્રના નામે દમદાટી આપી 10થી 12 જણાની ટોળકી આ બેરોકટોક ઉઘરાણા કરી રહી છે. છેલ્લાં ઘણા વર્ષથી માલિયા ગેંગ અહીં આતંક મચાવી રહી છે. આ સાથે નજીકમાં જ ખુલ્લેઆમ દારૂ પીતા પણ નજરે પડે છે. ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે, ધમકીદોઢ-બે દાયકા વીતી ગયા છતાં માલિયા ગેંગ કોઇપણ પ્રકારના ડર કે ખોફ વિના ઉઘરાણાના ગોરખધંધા કરી રહી હોય તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. આ વિવાદ વચ્ચે માલિયા ગેંગના ઉઘરાણાનો વીડિયો વાઇરલ થયો છે. ફૂટ-શાકભાજીવાળાને ધમકી આપી હપ્તાવસૂલી કરતા માલિયા ગેંગના સભ્યો કેમેરામાં કેદ થયા હતા. અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે એવો દમ મારી ગરીબ લોકો પાસેથી રોજિંદા ઉઘરાણા કરાઇ રહ્યા છે. કરણસિંહ ચુડાસમાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં11 વર્ષ પહેલાં માલિયા ગેંગના ઉઘરાણા મુદ્દે ભારે વિવાદ થયો હતો. તે સમયે પુણા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ કરણસિંહ ચુડાસમાએ ગરીબોને રંજાડતા દિલીપ માલિયા અને તેના સાગરીતોને બરાબરનો મેથીપાક ચખાડયો હતો. સરાજાહેર માલિયા પર ડંડાવાળી સાથે દોડાવી-દોડાવીને ફટકાર્યો પણ હતો. જોકે, થોડા સમય ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ માલિયા ગેંગે ફરી ઉપદ્રવ મચાવવાનો શરૂ કરી દીધો હતો. પોલીસનું કાર્યવાહીનું રટણઆ મામલે પુણા પોલીસ સ્ટેશનના પી.આઈ.વી. એમ દેસાઈએ જણાવ્યું હતું કે, હપ્તાખોરીના વાઇરલ વીડિયો અમારા સુધી પહોંચ્યા છે અને આ મામલે પોલીસના માણસોને વોચ માટે ગોઠવી દેવામાં આવ્યા છે. વીડિયોમાં જે પ્રમાણે હપ્તાખોરી અથવા ખંડણી માગવાની વાત છે તે પ્રકારની કોઈપણ માહિતી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ખુલ્લેઆમ ખુરશી મૂકીને દારૂ પી રહેલા યુવકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના કોયલી ગામે આહીર સમાજ દ્વારા 18મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 23 નવદંપતીઓએ વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાય છે. આહીર સમાજના પ્રમુખ રાણાભાઈ હુંબલ અને મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ આ 18મા સમૂહલગ્નનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. આયોજકો દ્વારા સમૂહલગ્ન બાદ વધેલા ભંડોળનો ઉપયોગ સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે. આ કાર્ય બદલ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને બિરદાવી હતી. મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં એક જ મંડપ નીચે આહીર સમાજની 100 દીકરીઓના લગ્ન થાય ત્યારે જ સમૂહલગ્નનું આયોજન સાચા અર્થમાં સફળ થયું ગણાશે.
મહેસાણાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની ITI સ્ટાફ ક્રિકેટ ટૂર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. તાલીમ અને રોજગાર ખાતું ગાંધીનગર દ્વારા પ્રેરિત અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI મહેસાણા તેમજ સ્ટેટ લેવલ ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ રમતોત્સવમાં ગુજરાતની વિવિધ સરકારી ITIના કર્મચારીઓ અને અધિકારીઓની કુલ 27 ટીમો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. આઈ.ટી.આઈ.ના સ્ટાફ માટે રાજ્ય કક્ષાનું આયોજન કરાયુંમહેસાણા આઈ.ટી.આઈ.ના આચાર્ય અને તાલીમ તથા રોજગાર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અવિનાશ પલાસના જણાવ્યા અનુસાર આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમ ક્ષેત્રે જોડાયેલા સ્ટાફમાં ખેલદિલીની ભાવના કેળવવી અને આંતર-સંસ્થાકીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને આઈ.ટી.આઈ. જે એકબીજાના પૂરક છે. તેમની વચ્ચેના સંબંધો સુદ્રઢ બને તે હેતુથી આ રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષો-મહિલાઓની અને અધિકારીઓની ટીમો મળી કુલ 27 ટીમો મેદાનમાં ઉતરીઆ પાંચ દિવસીય ડે-નાઈટ ટૂર્નામેન્ટમાં રમતગમતનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં 16 પુરુષોની ટીમો, 7 મહિલાઓની ટીમો અને 4 અધિકારીઓની ટીમો મળી કુલ 27 ટીમો મેદાનમાં ઉતરી છે. ટૂર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ભવ્ય ચેમ્પિયન ટ્રોફી અને રનર્સ-અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે એપ્રિસિએશન આપવામાં આવશે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ખાતાના નિયામક નીતિન સાંગવાન અને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રવિન્દ્ર ખટાલે ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.મહેસાણાના રમતપ્રેમીઓ માટે આ ડે-નાઈટ ટૂર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે.
વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોમર્સ સ્ટ્રીમમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી. આ માર્ગદર્શન અમદાવાદના અરિહંત ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ કામદાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રે રહેલી તકો, અભ્યાસક્રમો અને ભવિષ્યની સંભાવનાઓ વિશે વિસ્તૃત સમજ આપી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ તેમના મનમાં ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. સંદીપ કામદારે આ તમામ પ્રશ્નોનું સચોટ અને વ્યવહારુ માર્ગદર્શન આપી તેમની મૂંઝવણો દૂર કરી હતી.
મંત્રી જીતુ વાઘાણીએ સાળંગપુર ધામની મુલાકાત લીધી:દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધજા ચઢાવી
કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મંત્રી વાઘાણીએ શ્રીકષ્ટભંજનદેવ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી મંદિરના શિખર પર ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. આજે, તારીખ ૧૩-૦૨-૨૦૨૬, શુક્રવાર અને એકાદશીના પવિત્ર અવસરે શ્રીકષ્ટભંજનદેવ દાદાને અત્યંત દિવ્ય અને મનમોહક વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ૫:૪૫ કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એ જીતુ વાઘાણીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધીને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીની ‘સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ના માઇક્રોબાયોલોજી વિભાગની વિદ્યાર્થીની અંજની હલાઈએ રાજ્યકક્ષાની 'બાયો-એબ્સ્ટ્રેક્ટ રાઇટિંગ' સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા IIT ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા '૩૬મી ગુજરાત ઇન્ટિગ્રેટેડ બાયો નેટવર્ક' (GiBioN) અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. તેનું સંયુક્ત આયોજન ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM), ગુજરાત સરકાર અને માઇક્રોબાયોલોજી સ્ટડી સર્કલ, નડિયાદ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંશોધકો અને વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં અંજની હલાઈએ પોતાની વૈજ્ઞાનિક વિચારધારા અને લેખન કૌશલ્યનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રાધ્યાપકગણ અને શૈક્ષણિક સમુદાયે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
દ્વારકામાં 50 કિલો ગૌમાંસ ઝડપાયું:હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી, પ્રાંત અધિકારીને આવેદનપત્ર
પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર વિસ્તારમાંથી અંદાજે 50 કિલો ગૌમાંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ગૌપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો. તેના વિરોધમાં આજે સવારે 11 વાગ્યે દ્વારકાના રબારી ગેટથી પ્રાંત અધિકારી (SDM) કચેરી સુધી હિન્દુ સંગઠનો, સાધુ-સંતો અને સ્થાનિકોએ શાંતિપૂર્ણ રેલી યોજી આવેદનપત્ર સુપરત કર્યું. રેલી દરમિયાન વક્તાઓએ યાત્રાધામમાં ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓને અતિ ગંભીર ગણાવી હતી. તેમણે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાધુ-સંતોએ જણાવ્યું કે ગૌહત્યારાઓ સામે દૃષ્ટાંતરૂપ પગલાં લેવાં જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. પ્રશાસન તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી પણ માગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની, આરોપીઓને કડક સજા આપવાની તેમજ યાત્રાધામ વિસ્તારમાં ચાલી રહેલી માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરના સ્પેશિયલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે 'જ્ઞાન મહોત્સવ' ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા થયો હતો. આ ક્વિઝ સ્પર્ધામાં સામાન્ય જ્ઞાન (GK), વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને જ્ઞાન, વર્તમાન પ્રવાહો, રમત જગત તેમજ ઓડિયો રાઉન્ડ જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન સમય મર્યાદાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને પ્રેક્ષકોને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે માહોલ રોમાંચક બન્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી ટીમો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ગુરુકુળ દ્વારા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમના બૌદ્ધિક વિકાસના હેતુથી સતત યોજવામાં આવે છે. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પેટલે સન્માનિત કર્યા હતા.
Surat News: સુરતના ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક 26 વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના વ્હાલસોયા 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કર્યું છે. આ કરુણ ઘટના પાછળ પૂર્વ પતિ દ્વારા અપાતો માનસિક ત્રાસ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ, ઉમરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પૂનમ શાહના છૂટાછેડા થઈ ચૂક્યા હતા.
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના ICT વિભાગના વિદ્યાર્થીઓએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી એક નવીન ટેક્નોલોજી વિકસાવી છે. 'પ્રેશર-સેન્સિટિવ અસિસ્ટિવ રાઈટિંગ ડિવાઈસ' નામના આ પ્રોજેક્ટનું ડિઝાઇન પેટન્ટ ક્લાસ 19-06 હેઠળ સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું છે. આ સિદ્ધિ યુનિવર્સિટીના સંશોધન અને નવીનતા પ્રત્યેના દ્રઢ અભિગમને દર્શાવે છે. આ ડિઝાઇનની નોંધણી તમન્ના શાહ, ખુશનાઝ ડુમસિયા, ખુશી શાહ, કૃષ્ણ નડિયાદરા, વ્રજ સુરતવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામે કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ સમગ્ર પ્રોજેક્ટ ડૉ. હિતેશકુમાર લાડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જેમાં સંકલ્પનાથી લઈને સંશોધન, ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકાસ, પરીક્ષણ અને પેટન્ટ નોંધણી સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ ઉપકરણ ખાસ કરીને હાથ અથવા પેશીની ઇજા બાદ સારવાર લઈ રહેલા દર્દીઓ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે. ઉપરાંત, પાર્કિન્સન્સ જેવી સ્નાયુ-સંબંધિત બીમારીઓ ધરાવતી વ્યક્તિઓ તેમજ ડિસ્લેક્સિયા અને ડિસ્ગ્રાફિયા જેવી સમસ્યાઓ ધરાવતા બાળકોને પણ તેનાથી લાભ થશે. આ ઉપકરણ લેખન દરમિયાન થતા સૂક્ષ્મ ફેરફારોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડે છે. આ ડિવાઈસમાં એક વિશિષ્ટ લેખન સપાટી અને કેમેરા સિસ્ટમનો સમાવેશ થાય છે. તે લખાણની તસ્વીરો કૅપ્ચર કરીને AI આધારિત મોડલ દ્વારા તેનું વિશ્લેષણ કરે છે. આ સિસ્ટમ લખાણમાં રહેલી ભૂલો, અક્ષરોની રચના અને ગોઠવણીનું મૂલ્યાંકન કરીને વધુ પ્રેક્ટિસ માટે સૂચનો આપે છે. આ માહિતી મોબાઇલ એપ્લિકેશન સાથે સંકલિત હોવાથી વપરાશકર્તાની પ્રગતિનું નિરીક્ષણ સરળ બને છે. વધુમાં, ઉપકરણમાં પ્રેશર સેન્સર યુક્ત એક વિશેષ પેન છે, જે લખતી વખતે લાગતા દબાણને રિયલ ટાઈમમાં માપે છે. આ સુવિધા હાથની પેશીઓની શક્તિ અને નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. એકત્રિત થયેલા આંકડાઓ ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવતા હોવાથી તુલનાત્મક વિશ્લેષણ શક્ય બને છે. આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ યુનિવર્સિટીના ગૌરવમાં વધારો કરે છે અને આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી આધારિત સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના મહુલીયા ગામ પાસે ભંગાર ભરેલી એક મારૂતિ વાનમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નાકાબંધી કરીને આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. સંદીપ સિંગ અને પોલીસ અધિક્ષક ડૉ. હેશરાભાઈ દુધાતની સૂચના હેઠળ એલ.સી.બી. પી.આઈ. એન.એલ. દેસાઈના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક મારૂતિ વાન (GJ-16-AP-6163) માં ભંગારની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મહુલીયા ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાન આવતા તેને અટકાવવામાં આવી હતી. વાનની તલાશી લેતા પ્લાસ્ટિકના ભંગારની નીચેથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹૩,૬૫,૩૧૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ₹૨,૬૦,૩૧૬/- ની કિંમતના ૧૧૧૬ નંગ ક્વોટરિયા અને બીયર ટીન, ₹૧,૦૦,૦૦૦/- ની કિંમતની મારૂતિ વાન, તેમજ મોબાઈલ ફોન અને ભંગારનો સામાન શામેલ છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ અસરફ શોકત ભોલા (રહે. વેજલપુર, કાલોલ) અને તૌસીફ હુસેન સુધીયા (રહે. રહેમત નગર, ગોધરા) તરીકે થઈ છે. આ ઉપરાંત, તૌફીક જાડી (રહે. ગોધરા) ને સહ-આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ગોધરાના એ.એસ.આઈ. દિગ્પાલસિંહ, હેડ કોન્સ્ટેબલ દેહજીભાઈ, વિક્રમભાઈ, ભુપેન્દ્રસિંહ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ, અલ્પેશભાઈ અને નરેશકુમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 11 અને 12 ફેબ્રુઆરીના રોજ 'નાણાંકીય જાગૃતિ અને ઉપભોક્તા તાલીમ' વિષય પર દ્વિ-દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાણાંકીય સમજ કેળવી તેમને આર્થિક આયોજન માટે સક્ષમ બનાવવાનો હતો. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો. કાર્યક્રમના પ્રથમ દિવસે, અર્થશાસ્ત્ર વિભાગના ઈનચાર્જ અધ્યક્ષ વિજય જોષીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યશાળાની રૂપરેખા આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને SEBI પ્રમાણિત ટ્રેનર ડૉ. રિદ્ધિ અગ્રવાલનું ડૉ. ખુશ્બુ મોદી દ્વારા સ્વાગત કરાયું હતું. જાફરી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, સેદ્રાણાના ઈનચાર્જ આચાર્ય અને SEBI ટ્રેનર ડૉ. સિદ્ધિ અગ્રવાલનું ડૉ. જાગૃતિ પ્રજાપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસના વિવિધ સત્રોમાં, બંને નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને બચતનું મહત્વ, સુરક્ષિત રોકાણના વિવિધ વિકલ્પો અને શેરબજારની પાયાની સમજ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના ડિજિટલ યુગમાં અનિવાર્ય એવા e-KYC જેવી ટેકનિકલ બાબતો પર પણ વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ સમજાવ્યું કે બચત એ માત્ર પૈસા રોકવા નથી, પણ ભવિષ્ય સુરક્ષિત કરવાની કળા છે. વિદ્યાર્થીઓએ આર્થિક છેતરપિંડીથી બચવા અને જાગૃત ઉપભોક્તા બનવા અંગેના પ્રશ્નો પૂછી સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં IQAC કો-ઓર્ડીનેટર ડૉ. ચેતન પ્રજાપતિ અને વરિષ્ઠ પ્રાધ્યાપક સંજય પટેલે હાજર રહી વિદ્યાર્થીઓને આવા કૌશલ્યલક્ષી કાર્યક્રમોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યશાળાનું સંચાલન ઈશ્વર ચૌધરીએ કર્યું હતું. આ કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના સફળ આર્થિક આયોજન માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી.
ગાંધીનગરમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગ અને નશાના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. શહેરના સિટી પલ્સ રોડ પર ઊર્જાનગર-1ની સામે સુયશ સ્ટેટસ પાસે એક બેફામ ગતિએ આવતી ટાટા નેક્સન કારે રોડની સાઈડમાં ઊભેલી આઈ-20 કારને જોરદાર ટક્કર મારતા કાર દૂર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ઘટનાને પગલે ભોગ બનનાર મહિલાએ કારચાલકને સણસણતો તમાચો ચોડી દઈ ઉધડો લઈ નાખ્યો હતો. થોડી સેકન્ડોની ચૂક થઈ હોત તો યુવક કચડાઈ ગયો હોતપ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર પોતાની આઈ-20 કારમાં ખરીદી કરવા નીકળ્યો હતો. ત્યારે રસ્તા પર ગાડી ઊભી રાખી પતિ જ્યારે કારની પાછળની ડેકીમાં સામાન ગોઠવી રહ્યો હતો, ત્યારે જ પાછળથી કાળ બનીને આવેલી ટાટા નેક્સન કારે ધડાકાભેર ટક્કર મારી હતી. આ સમયે કારમાં મહિલા અને નાનું બાળક પણ બેઠેલા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે જો થોડી પણ સેકન્ડોની ચૂક થઈ હોત તો સામાન મૂકી રહેલો યુવક બંને કાર વચ્ચે કચડાઈ ગયો હોત. આ અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મહિલાએ કારચાલકને ખખડવી, તમાચો ઝીંક્યોત્યારે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ ભીડભાડ વાળા રોડ પર નેક્સન કારચાલક બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ જ્યારે મહિલા કારની બહાર આવી ત્યારે મોતને નજરે જોયાના આઘાતમાં તેણે બેફામ કારચાલકને સણસણતો તમાચો ચોડી દીધો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળીસ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં કારમાંથી પ્લાસ્ટિકની શંકાસ્પદ બોટલ મળી આવી હતી, જેમાં દારૂ હોવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે કારમાંથી શંકાસ્પદ પીણું ભરેલી બોટલો કબજે કરી હતી અને અકસ્માત સર્જનાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, આ સમગ્ર મામલે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. ભેદી સંજોગોમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી. થોડા મહિના પહેલાં હિતેશ પટેલે બેફામ ગાડી હંકારી મોતનો તાંડવ કર્યો હતોસ્થાનિકોનું કહેવું છે કે, અત્રેના વિસ્તારમાં થોડા મહિના પહેલાં હિતેશ પટેલે બેફામ ગાડી હંકારી મોતનો તાંડવ કર્યો હતો. એ સમયે તંત્રે દ્વારા અત્રેના સાંકડા રસ્તા પરના દબાણો અને આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરવાની ખાત્રી અપાઈ હતી, તેમ છતાં અહીં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. 11 ફેબ્રુઆરી, 2026: ધો.12નો વિદ્યાર્થી સ્કૂલમાં 'રોલો' પાડવા અમદાવાદથી થાર ભાડે લાવ્યો, બાઈકચાલકને ફૂટબોલની જેમ ઉલાળ્યો, CCTV કલોલના સર્વિસ રોડ પર બે દિવસ પહેલા જ એક યુવકની મોજમસ્તીએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સંસ્કૃતિ મૂવીપ્લેક્સ સામે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં એક બેફામ થાર ગાડીએ રિક્ષા અને બાઈક સહિત ત્રણ વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત સર્જનાર કોઈ રીઢો ગુનેગાર નહીં પણ ધો. 12માં ભણતો એક વિદ્યાર્થી હતો. આ વિદ્યાર્થી સ્કૂલમાં 'રોલો' પાડવા અમદાવાદથી થાર ભાડે લાવ્યો હતો. બાદમાં ત્રણેય મિત્રોએ નજીકના પેટ્રોલ પંપ પરથી ઈંધણ પૂરાવ્યું અને ગાડી પૂરપાટ ઝડપે દોડાવી રિક્ષા સહિત ત્રણ વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
પાલનપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે વિદ્યાર્થીનું મોત:મેડિકલ કોલેજનો યુવક મૃત્યુ પામ્યો, એક ઘાયલ
પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. મૃતક યુવક પાલનપુરના મોરિયા સ્થિત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સૌરાષ્ટ્રનો વતની હતો. ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર, બાઈક પર સવાર આ બંને યુવકોને એક અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા મણિનગરના હર્ષદરાય પરીખ કોમ્યુનિટી હોલ ખાતે વડીલોનું વૃંદાવન યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજના વિદેશમાં વસતા સંતાનોના એવા માતા-પિતા માટે છે જેઓ ભારતમાં એકલા રહે છે. આ કાર્યક્રમમાં જાણીતા સામાજિક આગેવાનો અને મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી, રમેશ તન્ના, પ્રમોદ શાહ, નમ્રતા શોધન, સરોજ જોશી, મૌલિક ગાંધી, ચિરાગ નંદવાણી, રિકીન શાહ, જયેશ પરીખ, નિહારિકા પરીખ, જયેશ શાહ, ભદ્રેશ પટેલ, સમિત શાહ, સ્નેહા શાહ, બીના શાહ, અલ્પા શાહ, માલા પરીખ, મલય શાહ, પ્રિતેશ શાહ, દિલીપ નાયલા અને ટીમ રાહીના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. પ્રશાંત ભીમાણીએ વાર્ધક્યના વધામણા વિષય પર કી-નોટ એડ્રેસ આપ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ જયેશ પરીખે રાહી ફાઉન્ડેશનની લોકોપયોગી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. અશોક દલાલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે મહેન્દ્ર પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ ભોજન સાથે સંપન્ન થયો હતો. રાહી પરિવાર, ટીમ રાહી, IDFC FIRST BANK અને ઉપસ્થિત NRI માતા-પિતાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગરમાં રેલવે નોટિસ સામે વિરોધ:હનુમાન ટેકરી વિસ્તારના રહેવાસીઓની પોલીસ દ્વારા અટકાયત
જામનગરમાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીએ એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી હતી. રેલવે તંત્રએ દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા બે દિવસથી નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ કરાયો છે. આ નોટિસના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગત રાત્રિએ મહિલાઓ સહિતના લોકોના ટોળા એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે તેમને અટકાવી આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા સમજાવ્યા બાદ લોકો પરત ફર્યા હતા. આજે ફરીથી લાલ બંગલા સર્કલ પાસે લોકો એકઠા થયા હતા. વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને કમિશનરને મળવાની જીદ પકડી હતી. મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને મળે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. બે બસ ભરીને સ્થાનિકોને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા. જોકે, પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ રેલવેની નોટિસના મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે. પોલીસ તંત્ર પણ આ મામલે એલર્ટ મોડમાં છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત એક પરિવારને તેમના ચોરાયેલા 9 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવ્યા છે. અદાલતની મદદથી આ મુદ્દામાલ પરત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ગત 16 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે બની હતી. જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટી, શેરી નંબર-1માં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠાના મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરો તેમના ઘરમાંથી 9 લાખ રૂપિયાથી વધુ કિંમતના ઘરેણાં ચોરી ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી ચોરને ઝડપી પાડ્યો હતો અને તેને અદાલતમાં રજૂ કર્યો હતો. ચોરાયેલા 9 લાખ રૂપિયાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. અદાલતી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને અદાલતનો હુકમ મેળવી લીધા પછી, પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ તરુણભાઈ અને તેમના પરિવારને પોલીસ મથકે બોલાવી તેમના ઘરેણાં સુપરત કર્યા હતા.
ભરૂચ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર નિશાકુમારી (આઈએએસ) એ અટાલી આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મળતી પાયાની સુવિધાઓ, શાળાની શૈક્ષણિક ગુણવત્તા, આરોગ્ય અને ભોજન વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષણ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય અપાય છે. છેવાડાના ગામોની આશ્રમશાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા તથા ભૌતિક સુવિધાઓને મજબૂત બનાવવા તંત્ર કટિબદ્ધ છે. પ્રાયોજના વહીવટદારે વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના જ્ઞાન સ્તર અને આત્મવિશ્વાસ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. ભોજનશાળાની મુલાકાત દરમિયાન પીરસાતા ભોજનની ગુણવત્તાની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આદિજાતિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુલાકાત દરમિયાન શાળાના મકાનો જર્જરિત છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત, સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ હતી. મુલાકાતના અંતે, નિશાકુમારીએ જણાવ્યું હતું કે, અટાલી આશ્રમ શાળાનું વાતાવરણ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ છે. તેમણે ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા સંસ્થાને બાંહેધરી આપી હતી. આ મુલાકાતથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. પ્રાયોજના વહીવટદારે શાળામાં રહેલી સુવિધાઓની ખામીઓની ચકાસણી કરી તેને દૂર કરવા જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી.
સાજીદ ભટ્ટી પાસા હેઠળ જેલ હવાલે:અમરેલીમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુનેગાર સાજીદ રજાકભાઈ ભટ્ટીને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જિલ્લા પોલીસને ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલાએ ભયજનક અને શરીર સંબંધિત ગુનાઓ આચરવાની ટેવ ધરાવતા સાજીદ રજાકભાઈ ભટ્ટી (ઉં.વ. 23, લીલાનગર, અમરેલી) વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. પીઆઈ વાઘેલા દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાનું વોરંટ જારી કરતા, અમરેલી એલ.સી.બી. પીઆઈ એ.ડી. ચાવડા અને અમરેલી સિટી પોલીસ ટીમે વોરંટની બજવણી કરી આરોપી સાજીદ ભટ્ટીની અટકાયત કરી હતી. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સાજીદ રજાકભાઈ ભટ્ટીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન સહિત કુલ 4 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે વારંવાર ગુનાઓ આચરતો હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે. વારંવાર ગુનાઓ આચરતા આ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કરાતા, જિલ્લાના અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી મળી છે. આ પગલાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મીની કુંભમેળાનો આજે ત્રીજો દિવસ છે. ભવનાથના આંગણે ભક્તિનું એવું પૂર ઉમટ્યું છે કે રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નથી. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગુંજતા નાદ સાથે શ્રદ્ધાળુઓ ડગલે ને ડગલે શિવમય બની રહ્યા છે. ભવનાથમાં જાણે કૈલાસ ઉતર્યું હોય તેવો ભક્તિભાવ સર્જાયો છે. ત્રીજા દિવેસ ભાવિકોનું ઘોડાપૂરમેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ એટલી મોટી સંખ્યામાં ઉમટ્યું છે કે તેના વિઝ્યુઅલ્સ જોઈને પ્રયાગરાજ કુંભની યાદ તાજી થઈ જાય. ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભાવિકો પગપાળા ચાલીને મેળામાં પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં યુવાધન અને પરિવારો યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે. વાહનો પર પ્રતિબંધ અને શાંતિપૂર્ણ મેળોઆ વર્ષે તંત્ર દ્વારા મેળામાં વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે બાઇકો અને હોર્નના ઘોઘાટથી શ્રદ્ધાળુઓને થતી પરેશાની આ વખતે જોવા મળતી નથી. ભાવિકોએ આ નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે, વાહનો ન હોવાથી અમે મુક્ત મને અને શાંતિથી મેળાનો આનંદ માણી રહ્યા છીએ. હર્ષ સંઘવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ મેળાને 'મીની કુંભ'ની ઓળખ મળતા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અઘોરી ગ્રુપે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાગઈકાલે રાત્રે(12 ફેબ્રુઆરી) સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ‘અઘોરી ગ્રુપ’ રહ્યું હતું. આધુનિક સંગીતના સમન્વય સાથે શિવ-શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓએ હજારોની મેદનીને ડોલાવી દીધી હતી. ભજન અને આધુનિક વાદ્યોના તાલે આખું વાતાવરણ શિવમય બની ગયું હતું. દરરોજ અહીં નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી અને લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવે છે. જટાધારી નાગા સાધુઓ અને ધૂણીનો ધખારોશિવરાત્રીના મેળાનો મુખ્ય સ્તંભ એટલે જટાધારી નાગા સાધુઓ. મેળામાં સાધુ-સંતોએ ધૂણી ધખાવી છે અને ચિલમની છોળો વચ્ચે અલખનો આરાધ શરૂ કર્યો છે. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરેલા સાધુઓના દર્શન કરવા માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. ભાવિકોને આ સાધુઓમાં સાક્ષાત્ શિવના રૂપની અનુભૂતિ થઈ રહી છે. અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ અને ભક્તિનો ભાવમીની કુંભમાં સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળો દ્વારા ભોજન પ્રસાદીની અવિરત સરવાણી વહી રહી છે. શાક, રોટલી, દાળ-ભાત અને મિષ્ટાન-ફરસાણ સાથે શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. માત્ર ભોજન જ નહીં, પણ થાકેલા ભાવિકો માટે ગાદલા-ગોદડાં અને વિશ્રામની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ અને ભક્તિનો ભાવ જોઈને આંતરડી ઠરે તેવો માહોલ છે. 'આ મેળો શિવ અને જીવનો મેળો છે'પ્રખ્યાત કલાકાર હેમુભાઈ ગઢવીના પુત્ર બિહારી હેમુ ગઢવીએ મેળાની મુલાકાત દરમિયાન જૂની સ્મૃતિઓ તાજી કરી હતી. બિહારી હેમુ ગઢવીએ જણાવ્યું કે, આ મેળો શિવ અને જીવનો મેળો છે. અગાઉના સમયમાં જ્યારે મારા પિતા હેમુભાઈ ગઢવી, નારાયણ સ્વામી બાપુ, પ્રાણલાલ વ્યાસ અને ભીખુદાનભાઈ ગઢવી જેવા દિગ્ગજો ભજન ગાતા ત્યારે ભજનરસિયાઓ એક રાવટીએથી બીજી રાવટીએ કલાકારોની પાછળ દોડતા. ભવનાથની રજકણ પણ પવિત્ર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હાલમાં પણ અનેક કલાકારો પોતાની વાણી પવિત્ર કરવા અહીં આવે છે. લાઈવ રંગોળીનું આકર્ષણસુરતથી આવેલા અજય ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહીં આવે છે અને સાવરકુંડલાના ગ્રુપ સાથે મળીને લાઈવ રંગોળી બનાવે છે. તેમણે મીની કુંભના આયોજન અને સુંદર લાઈટિંગના વખાણ કરતા વડાપ્રધાન અને હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગુંજતા નાદગિરનારની સીડીઓ અને ભવનાથની ગલીઓમાં અત્યારે માત્ર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે, જે મહાશિવરાત્રીની રાત્રે નીકળનારી ભવ્ય રવેડી સાથે ચરમસીમાએ પહોંચશે.
સમી કોલેજમાં ‘યુરેકા’ બિઝનેસ પીચ સ્પર્ધા:વિદ્યાર્થીઓએ આત્મનિર્ભરતાના સપનાઓને આપી નવી ઉડાન
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા ‘યુરેકા – બિઝનેસ પ્રપોઝલ અને પીચ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારતના સપનાઓને નવી દિશા આપી હતી. આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારી કૉલેજ બેચરાજીના આચાર્ય ડૉ. ભાવનાબેન પટેલે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને બિરદાવતા સ્થાનિક સમસ્યાઓના ઉકેલમાં સાચા કૌશલ્યને ઓળખાવ્યું હતું. અમદાવાદના ડૉ. ઇજન વેદ, ગણપત યુનિવર્સિટીના ડૉ. અંકિત સિંહા અને અશ્વિનભાઈ ચૌધરી જેવા નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક જગત વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ઇજન વૈદે પોતાના વક્તવ્યમાં ભારતીય સમાજની જરૂરિયાતોને ઓળખીને ઉત્પાદનો બનાવતી કંપનીઓના ઉદાહરણો આપ્યા હતા. તેમણે સમજાવ્યું કે કેવી રીતે ગ્રાહકલક્ષી ઉત્પાદનો માત્ર આર્થિક જ નહીં, પરંતુ સમાજની દિશા અને દશાને પણ સકારાત્મક રીતે બદલી શકે છે. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદે જણાવ્યું કે સ્વાવલંબી બનીને નવા વિચારો થકી દેશને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈ વિચાર નાનો નથી હોતો, તેને માત્ર વેગ આપવાની અને સકારાત્મક પ્રયત્નોથી અમલમાં મૂકવાની જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓને જોબ સીકર નહીં, પરંતુ જોબ ક્રિએટર બનવાની પ્રેરણા આપી. સ્પર્ધામાં 22 જેટલા વિદ્યાર્થીઓએ પરંપરાગત નોકરીની માનસિકતા ત્યાગીને પોતાના સંશોધિત પ્રોટોટાઇપ રજૂ કર્યા હતા. આ પ્રોટોટાઇપમાં વર્મીકમ્પોસ્ટ, મશરૂમની ખેતી અને ઓર્ગેનિક સાબુ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ વિચારોમાં આર્થિક ઉન્નતિની સાથે સમાજ સેવા માટેની તડપ પણ જોવા મળી હતી. ડૉ. આરતીબેન પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું, જ્યારે વિજયભાઈ જોષીએ આભારવિધિ કરી હતી. વિજેતા વિદ્યાર્થીઓના હાથમાં રહેલી ટ્રોફી અને તેમની આંખોમાં રહેલી ભવિષ્યની ચમક દર્શાવતી હતી કે આ યુવાનો આવતીકાલના સફળ ઉદ્યોગસાહસિક બનવા સજ્જ છે.
શહેરના અગ્રણી શૈક્ષણિક સંકુલ બી.આર.જી. (BRG) ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્થાપક બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપની ઊર્મિ સ્કૂલ અને ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને દિવ્યાંગ પરિવારોને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન અર્પણ કર્યા. બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે તમામ શાળાઓમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા પેઢીમાં સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો. બી.આર.જી. ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલના 100 થી વધુ વિદ્યાર્થીઓએ વોર્ડ 3 ના સફાઈ કર્મચારીઓને ફૂલ આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ સમા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. બકુલેશ ગુપ્તા શિસ્ત અને સમાજ સેવાના હિમાયતી હતા. તેમના આદર્શોને અનુસરીને, વિદ્યાર્થીઓએ સમા તળાવ જેવા જાહેર સ્થળે સફાઈ ઝુંબેશ ચલાવી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા. આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ તળાવની આસપાસનો કચરો એકત્રિત કરી વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો. બી.આર.જી. ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક બકુલેશ ગુપ્તાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું. બકુલેશ ગુપ્તા સમાજના વંચિત વર્ગોના ઉત્થાન અને સ્વાવલંબનના હિમાયતી હતા. તેમના આદર્શોને અનુસરીને, શાળા પરિવારે દિવ્યાંગ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન અર્પણ કર્યા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ પરિવારોને આર્થિક રીતે સદ્ધર બનાવી સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ કરવાનો હતો. આ કાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે બકુલેશ ગુપ્તાને પુષ્પાંજલિની સાથે કર્માંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને જીવંત રાખી. બી.આર.જી. ગ્રુપના સંચાલક મંડળના જણાવ્યા અનુસાર, આવા આયોજનથી વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના કેળવાય છે. બી.આર.જી. ગ્રુપ ઓફ સ્કૂલ્સ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક અને માનવીય અભિગમ ધરાવતા કાર્યક્રમો માટે જાણીતું છે. આ સ્વચ્છતા અભિયાન દ્વારા વડોદરાના વારસાને જાળવવા અને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લેવામાં આવ્યો.
સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ડિવોરસી માતા પૂનમ શાહે પોતાના 4 વર્ષના માસૂમ પુત્ર શિવાય સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, પૂનમે પહેલા પોતાના વ્હાલસોયા પુત્રને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર દ્વારા આક્ષેપ છે કેઆ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. એક હસતા-રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે અને પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…….
ન્યૂ નવરંગ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો:વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને મેડલ મળ્યા
અમદાવાદના ફતેહવાડી, સરખેજ રોડ સ્થિત ધી ન્યૂ નવરંગ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સ્પોર્ટ્સ સાધનોનો ઉપયોગ કરીને રમતોનો આનંદ માણ્યો હતો. સ્પોર્ટ્સમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ય શાળાના આચાર્ય પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઈરફાન અરબે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને તેના આધારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુકાબલા 2025–26 રમતગમત મહોત્સવનું ઉદ્ઘાટન:સુરતની ડૉ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન કરાયું
ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ખાતે વાર્ષિક રમતગમત મહોત્સવ મુકાબલા 2025–26નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મહોત્સવ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. આચાર્ય ડૉ. સંજય આર. જોશીના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ વિભાગ કમિટી, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સહયોગથી ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો. મુકાબલા 2025–26 અંતર્ગત કુલ 18 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 આઉટડોર અને 5 ઇન્ડોર ગેમ્સનો સમાવેશ થાય છે. આ મહોત્સવમાં કોલેજના અંદાજે 1900 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં, સંસ્થાના 18 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ (AIU Players) તરીકે કોલેજનું નામ રોશન કર્યું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, આચાર્ય, તમામ વિભાગના વડાઓ અને સ્ટાફ સભ્યો દ્વારા કબડ્ડી મેદાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ વાર્ષિક રમતગમત મહોત્સવનું ઔપચારિક લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ખેલભાવના, શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. મુકાબલા 2025–26નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો, શારીરિક અને માનસિક સ્વસ્થતા વિકસાવવાનો તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાઓને ઉજાગર કરવાનો છે.
છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસે ઓઝડી ગામ પાસેથી વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2,63,045/- ની કિંમતનો દારૂ અને એક હ્યુન્ડાઈ કાર સહિત કુલ રૂ. 5,18,045/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સક્રિય છે. ઝોઝ પોલીસે પણ દારૂની વધુ એક ખેપ પકડી પાડી છે. ઝોઝ પોલીસ મથકના પી.આઈ. અરુણ પરમાર પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે એક હ્યુન્ડાઈ કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, ઓઝડી ગામ પાસે રોડ પરથી GJ 01 RJ 8508 નંબરની હ્યુન્ડાઈ ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 1121 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,63,045/- થાય છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 5,18,045/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાડી ચાલક વિપુલભાઈ ગોવિંદભાઈ રાઠવા (રહે. દેવહાંટ ફળિયા, અંબાલા, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામ્બુઘોડા CHCને નવી એમ્બ્યુલન્સ મળી:₹14.89 લાખના ખર્ચે વસાવેલી, નાગરિકોને મળશે તાત્કાલિક સેવા
પંચમહાલના જામ્બુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર કચેરી, પંચમહાલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જાહેર આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે ₹14.89 લાખના ખર્ચે વસાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેક્ટર અજય દાહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તાકીદની સેવાઓ માટે મહત્વનું કદમ ગણાતી આ એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો માટે જીવનરક્ષક સાબિત થશે. ખાસ કરીને રોડ અકસ્માત, હાર્ટ એટેક કે ગંભીર ઈજાના સમયે દર્દીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ ઉપરાંત, ડિલિવરીના કિસ્સામાં સગર્ભા મહિલાઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે. સાપ કે અન્ય ઝેરી જંતુ કરડવાના કિસ્સામાં ત્વરિત સારવાર માટે પણ તે ઉપયોગી થશે. ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હાયર સેન્ટર હોસ્પિટલમાં એડવાન્સ લાઈફ સપોર્ટ સાથે સ્થળાંતરિત કરવામાં પણ આ એમ્બ્યુલન્સ મદદરૂપ થશે.
મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12 (સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ)ની આગામી પરીક્ષાઓના આયોજન માટે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક લુણાવાડા જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટર અર્પિત સાગરે પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયાએ પરીક્ષા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે. કુલ 32,619 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પૈકી ધોરણ 10માં 18,654 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,116 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર સામે આવેલા સાંકડી શેરી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના નડતરરૂપ ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. વિવાદ અને ઘર્ષણની સ્થિતિદબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. સ્થળ પર હાજર સાંખ્યયોગી બહેનો અને મહિલા પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે મહિલા પોલીસે સાંખ્યયોગી બહેનોને રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ભારે રકઝક વચ્ચે પણ તંત્રએ પોતાની કામગીરી ચાલુ રાખી હતી. કેમ આ નિર્ણય લેવાયો?ચીફ ઓફિસર ડી.જી. પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે, આ વિસ્તારના એક અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સાંકડી શેરીમાં રહેવાસીઓએ રસ્તા પર ગેરકાયદે ઓટલા બનાવી દીધા છે. દબાણો દૂર કરવાનું કારણ કોંગ્રેસનો વિરોધ અને આંદોલનની ચીમકીબીજી તરફ, વિપક્ષ દ્વારા આ કામગીરીને 'ગેરવાજબી' ગણાવવામાં આવી છે. કોંગ્રેસના વિપક્ષી નેતા મીત ડાંગરે આક્ષેપ કર્યો હતો કે, તંત્રએ માત્ર 1 દિવસ અગાઉ નોટિસ આપીને તાબડતોબ ડિમોલિશનની કાર્યવાહી કરી છે, જે અન્યાયી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી થોડા દિવસોમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અમલસાડમાં 155 જાનૈયાને ફૂડ પોઈઝનિંગ:લગ્નપ્રસંગના જમણવાર બાદ વરરાજા સહિત અનેકની તબિયત લથડી
ગણદેવી તાલુકાના અમલસાડ ગામે એક લગ્ન પ્રસંગના જમણવારમાં ભોજન લીધા બાદ 155થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. ઝાડા-ઉલ્ટી અને ગભરામણની અસર થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ખુદ વરરાજાનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ગુરુવારે અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલના લગ્ન પ્રસંગે બની હતી. આયોજિત જમણવારમાં આશરે 1000 મહેમાનો હાજર રહ્યા હતા. મોડી સાંજે વરરાજાની જાન જલાલપોર જવા રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે જ મહેમાનો અને ગ્રામજનોને શારીરિક તકલીફો શરૂ થઈ હતી. ભોજન સમારંભમાં છોલે-પુરી, પનીરનું શાક, દૂધીનો હલવો, દાળ-ભાત, કચુંબર, ફુલવડી અને ભૂંગળા જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી. જાન નીકળતા પહેલા જ 155 થી વધુ લોકોને ગેસ, ઝાડા, ઉબકા અને ઉલ્ટી થવા લાગી હતી. વરરાજા નિલ ટંડેલની તબિયત પણ લથડતા તેમને તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે 32 દર્દીઓ, કૃષ્ણપુર PHC ખાતે 22 દર્દીઓ અને મંદિર ગામ PHC ખાતે 22 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, 50થી વધુ લોકોને સ્થાનિક સ્તરે સારવાર મળી હતી. આ મામલે આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે કુલ 155 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે, જેમાંથી 60 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બાકીના અન્ય દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી હતી. ગામમાં આરોગ્ય વિભાગની એક ટીમ કાર્યરત છે અને અન્ય ગામોમાં અસરગ્રસ્ત દર્દીઓને પણ સ્થાનિક કક્ષાએ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન ફોર્મ નંબર-7ના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાદ હવે વેરાવળમાં પણ આ મુદ્દે વિરોધ નોંધાયો છે. વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો 282 જેટલી લેખિત ફરિયાદો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમણે સીટી પી.આઈ. ગઢવીને રજૂઆત કરી હતી. આ આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, લઘુમતી સમાજના મતદારોને નિશાન બનાવી તેમના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાપવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમના વિરુદ્ધ ફોર્મ-7 ભરાયા છે, તે તમામ વ્યક્તિઓ જીવિત છે અને પોતાના સરનામે હાજર છે. રજૂઆત કરનારાઓમાં પૂર્વ મુસ્લિમ સમાજ પ્રમુખ અનવર ચૌહાણ, જમિયતે ઉલેમાએ હિન્દના ફારૂકભાઈ, નગરસેવક સાહિલ સેખું અને સામાજિક કાર્યકર અલતાફભાઈ મુગલનો સમાવેશ થાય છે. તેઓએ મતાધિકાર છીનવવાના કાવતરા સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી અને ભારતીય દંડ સંહિતા હેઠળ પગલાં ભરવા જણાવ્યું હતું. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે, મતદાનનો અધિકાર બંધારણ દ્વારા પ્રદત્ત મૂળભૂત હક છે. કોઈપણ નાગરિકને ખોટી અરજી દ્વારા મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ લોકશાહી માટે હાનિકારક છે. પોલીસ તંત્ર દ્વારા આ રજૂઆતો સ્વીકારીને સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે આ તપાસના આધારે શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરમાં ભક્તિ અને કળાનો અનોખો સંગમ જોવા મળશે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે 60 ટન રેતીમાંથી ભવ્ય રેતશિલ્પો તૈયાર કરાશે, જે મુખ્ય આકર્ષણ બનશે. સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ મહાશિવરાત્રિ મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ભક્તોને નવીન આધ્યાત્મિક અનુભૂતિ આપવા માટે ઓડિશાના કુશળ સેન્ડ આર્ટિસ્ટોની ટીમ દિવસ-રાત કાર્યરત છે. પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂ, સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા સહિતના કલાકારો ત્રણ દિવસમાં ત્રણ વિશાળ રેતશિલ્પો બનાવશે. આ કૃતિઓમાં શ્રી ગણપતિજી, શિવ-પાર્વતી, કાર્તિકેયના સ્વરૂપો, સોમનાથ મંદિર અને શિવતાંડવના દ્રશ્યોને રેતીમાં આકાર અપાશે. કલાકારોના મતે, એક શિલ્પ બનાવવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે. આ રેતશિલ્પોની વિશેષતા એ છે કે, તેમાં કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ થતો નથી. માત્ર રેતી અને આશરે 2 થી 3 હજાર લિટર પાણીના ઉપયોગથી આ કૃતિઓને મજબૂત બનાવવામાં આવે છે. મહાશિવરાત્રિના પવિત્ર અવસરે સોમનાથમાં આ કલાત્મક કૃતિઓ ભાવિકો માટે યાદગાર રહેશે. ભક્તિ અને કળાનો આ સંગમ સોમનાથધામમાં મહાશિવરાત્રિને વધુ ભવ્ય બનાવશે.
સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી ઓઈલ કંપનીના માલિક ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે. જેને પગલે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામ સામે આવી ગયા છે. તાજેતરમાં જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની સાથે ચિરાગ ગોટીના ફોટો વાઇરલ થયા હતા. જેમાં ચિરાગ ભાજપના જ ખેસમાં તેની પાછળ ઉભેલો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ વાટલીયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં મોરડિયાએ કહ્યું હતું કે, હું પહેલીવાર ચૂંટાયો ત્યારે મારું પહેલું ઇન્ટરવ્યુ એવું હતું કે, અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો અને નહીં તો પછી કતારગામ છોડી દે. તમારી ખાતરી માટે કહું કે, આ આઠ વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને! ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે, આ તમારા ગામનો જ ટપોરી છે. પ્રજાપતિ ઓછા નથી. નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી, તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે? નંદલાલ પાંડવે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 7 માં સરકારી સ્કૂલના નિર્માણમાં અવરોધ ઊભો કરીને અને નીતિ-નિયમો નેવે મૂકીને પ્રજાપતિ સમાજને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ચિરાગ ગોટીની રાજકીય સાઠગાંઠ અને પોલીસની ઢીલી નીતિ સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે આ મામલો માત્ર ગુનાખોરીનો જ નહીં પરંતુ મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ લાગે છે. વિનુ મોરડિયાએ આ હુમલાનો વળતો જવાબ આપતા નંદલાલ પાંડવની દાનત સામે જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નંદલાલ પાંડવ ભાજપના નેતા છે, પણ તેમણે જે કર્યું છે એ પાર્ટી અને સમાજ બંને માટે નુકસાનકારક છે. મોરડિયાએ દાવો કર્યો કે ચિરાગ ગોટી સાથેના ફોટો ભૂતકાળના હોય શકે છે, પરંતુ તેના વર્તમાનના કાળા કામો સાથે મારે કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ ટોણો માર્યો કે પાર્ટીએ હવે વિચારવું જોઈએ કે આવા પાયાવિહોણા આક્ષેપો કરનારા નેતાઓ સામે શું પગલાં લેવા. આ વિવાદમાં હવે 'જ્ઞાતિવાદ'નું કાર્ડ પણ ખેલાઈ રહ્યું છે. નંદલાલ પાંડવે પ્રજાપતિ સમાજના નામે વિનુ મોરડિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સામે પક્ષે મોરડિયાએ આક્ષેપ કર્યો કે ગણ્યા-ગાંઠ્યા લોકો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી. મોરડિયાએ કહ્યું કે, કતારગામના જે પટેલ યુવાનોને માર મારવામાં આવ્યો છે અને જેમણે માર્યો છે, તે બંને એક જ જ્ઞાતિના છે. તો પછી અહીં સમાજ વચ્ચે ક્યાંથી આવ્યો? તેમણે નંદલાલ પાંડવ પર સમાજમાં નકારાત્મકતા ફેલાવવાનો સીધો આરોપ લગાવ્યો છે. ચિરાગ ગોટી સાથેના સંબંધો વિશે વિનુ મોરડિયાએ બચાવ કરતા કહ્યું કે તે એક જ ગામના હોવાને નાતે જૂની ઓળખાણ હતી. પરંતુ છેલ્લા બે-ચાર વર્ષમાં જ્યારે ચિરાગના શંકાસ્પદ બિઝનેસની વાતો સામે આવી, ત્યારે મેં પોતે જ ટીવી પર નિવેદન આપીને તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી. મોરડિયાએ નંદલાલ પાંડવને આડે હાથ લેતા પૂછ્યું કે, જ્યારે ચિરાગ પકડાયો ત્યારે આ જ નેતાઓ કેમ મૌન હતા અને હવે કેમ ફોટા ઉછાળી રહ્યા છે? મારો સમાજ મારી તાકાત....,, આ ચિરાગ ગોટી નીંગાળા જેમને માર મારી રહ્યો છે તે જીજ્ઞેશ મગનભાઈ વ્યાસ મહુવા તાલુકાના જાદરા ગામનો વાટલિયા પ્રજાપતિનો દીકરો છે, ચિરાગ ગોટી કોઈ સુપ્રીમો નથી એ ગુજરાતના કતારગામમાં જ આ બધા કૃત્યો આચરતો હતો, જેમને મારે છે તેમને મારવાનો હક્ક કોણે આપ્યો જે કંઈ હોય કાયદાથી કામ લેવું જોઈએને, કાયદો હાથમાં લઈનેને બાપ બનવા નીકળી પડેલાને કાયદાનું ભાન કરાવવું જ જોઈએ, બગદાણાનો તાજો દાખલો જોઈલો ગુજરાતમાં પ્રજાપતિ કંઈ ઓછા નથી દરેકે જાગવું જોઈએ અને નમાલા નેતાઓની ચાપલૂસી બંધ કરવી જોઈએ, વાટલિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં હમણાં જ ધારાસભ્ય વિનુ મોરડીયા બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતારગામ છોડી દેય, આઠ વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી તો સાહેબ આ તમારા જ ગામનો ટપોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે એ શું છે, જનતા જણાવજો જરા, બીજું કતારગામની જ વાત કરીએ તો ત્યાં પ્રજાપતિ વધુ છે એટલે એમના મત પણ વધુ હોય મત માટે મીઠી મીઠી વાતો થાય છે પણ ઇરાદા ખૂબ અલગ હોય છે, કતારગામ રામકથા રોડ ઉપર જીતુભાઈ પ્રજાપતિનો ફ્લેટ ત્રાસ આપીને વેચાવી દીધો, ઠાકરશીભાઈ પ્રજાપતિનું મકાન નથી બાંધવા દેતા, વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલ નથી બનવા દેતા તેમાં પણ નીતિ નિયમોની ઉપરવટ જઈને સ્કૂલનું સ્થળ ફેરવી નાખ્યું કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો છે, કારણ પ્રજાપતિ મત આલગ આપી વિસ્તારોમાં વહેચાય જાય તો પ્રજાપતિ નાબે ત્રણ કોર્પોરેટરો પણ ચૂંટાઈ શકે , આ બધી રાજકીય રમત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એટલે બટેંગે તો કટેંગે સુરતમાં પણ લાગુ પડે છે, અન્યાય કરવો એ ગુનો છે, પરંતુ અન્યાય સાહન કરવો એ પણ મહાપાપ છે, આવા તત્વોને ડામવા એકતા જ જરૂરી છે,તેમજ પ્રજાપતિ સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થશે તે બિલકુલ સાખી લેવામાં નહીં આવે......
આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, એમ્ફીથિયેટર, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણના સ્તરને વધુ ઉંચુ લાવવા અને ભૌતિક સુવિધાઓ સજ્જ કરવાના હેતુથી શહેરની સિદસર પ્રાથમિક શાળાને 'મોડલ સ્કૂલ' તરીકે વિકસાવવા માટે રૂ.2.13 કરોડના ખર્ચે અપગ્રેડેશન કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ચાર શાળાઓને મોડલ શાળા તરીકે અપગ્રેડ કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડો. નિકુંજ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,સરકારની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત આ યોજના સાકાર થઈ રહી છે મોડલ શાળાના અપગ્રેડેશન હેઠળ બાળકોને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે, જેમાં મુખ્યત્વે નવા શેડ અને કમ્પાઉન્ડ વોલની વ્યવસ્થા, રમત-ગમત માટે સુસજ્જ ગ્રાઉન્ડ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે થિયેટરની સુવિધા, અદ્યતન ભૌતિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ સાથે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા કુલ ચાર શાળાઓને મોડલ શાળા તરીકે અપગ્રેડ કરવામાં આવશે, મોડેલ શાળામાં આ સુવિધાઓ ઉપલબ્ધ બનશે પ્રોજેક્ટની સુરક્ષા અને સરળ અવરજવર માટે 120 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ અને 9 મીટર પહોળો મજબૂત RCC મેઈન રોડ બનાવવામાં આવશે, આ સાથે જ સમગ્ર એરિયામાં ઇન્ટરલોકિંગ પેવર બ્લોક્સ લગાવીને સાઇટને આધુનિક લુક આપવામાં આવશે. હયાત શેડનું વિશાળ વિસ્તરણ કરીને ક્ષમતામાં વધારો કરવામાં આવશે., જાહેર કાર્યક્રમો અને સભાઓ માટે એક ભવ્ય પગથિયાં વાળું એમ્ફીથિયેટર તૈયાર કરવામાં આવશે, આધુનિક RCC સ્ટેજ બનાવવામાં આવશે, આ સુવિધાથી સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નવું પ્લેટફોર્મ મળશે, યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, યોગ્ય માટી કામ અને લેવલિંગ સાથે નવા મેદાન તૈયાર થશે. પોલ ફિક્સિંગ અને કોર્ટ માર્કિંગ સાથે પ્રોફેશનલ વોલીબોલ ગ્રાઉન્ડ બનશે, પર્યાવરણને ધ્યાનમાં રાખીને 160 સાયકલની ક્ષમતાવાળું શેડ સાથેનું પાર્કિંગ બનાવવામાં આવશે, સ્વચ્છતાના અભિગમ સાથે એક નવો ટોયલેટ બ્લોક તૈયાર કરવામાં આવશે, રેલિંગ અને રેમ્પ સાથે ખાસ ટોયલેટ, મહિલાઓ અને પુરુષો અલગ અલગ ટોયલેટ તેમજ યુરિનલ્સની સુવિધા ઉપલબ્ધ કરાશે.
વલસાડ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં ગુરુવારે એક કૂતરાએ હુમલો કર્યો હતો. આ હિંસક કૂતરાએ બાળકો, યુવાનો અને વાહનચાલકો સહિત કુલ 13 લોકોને કરડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કૈલાશ રોડ પર છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાત્રે એક કૂતરો અચાનક હિંસક બન્યો અને રસ્તામાં આવતા લોકોને નિશાન બનાવ્યા. તેણે રમી રહેલા બાળકોને કરડ્યા અને બાઇક સવારના પગમાં બચકાં ભરી તેમને પાડી દીધા હતા. એકસાથે 13 લોકોને કૂતરા કરડવાની ઘટનાને પગલે નગરપાલિકાના તંત્ર સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ અંગે વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઈજાગ્રસ્તોમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ ઘટના કૈલાશ રોડ અને તેની આસપાસની સોસાયટીઓમાં બની હતી. તમામ ઈજાગ્રસ્તોને હડકવા વિરોધી રસી (Anti-Rabies) આપવામાં આવી છે.
આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરો માટે ઉપપ્રમુખ તરીકેના નામો જાહેર કરવામાં આવ્યા છે. શહેર અને તાલુકા સ્તરે નવી જવાબદારીનવી નિમણૂક મુજબ મહેસાણા શહેર ઉપપ્રમુખ તરીકે જેસગ ફુલજીભાઈ ચૌધરી અને જશીબેન જગદીશભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા તાલુકાની જવાબદારી સંજય ગૌતમભાઈ પટેલ અને દિલીપ બબાભાઈ પ્રજાપતિને સોંપવામાં આવી છે. વિસનગર તાલુકા ઉપપ્રમુખ તરીકે મુકેશ પટેલની પસંદગીસંગઠન દ્વારા જિલ્લાના અન્ય મહત્વના તાલુકાઓમાં પણ અનુભવી કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિસનગર તાલુકા ઉપપ્રમુખ તરીકે મુકેશ ઇશ્વરભાઈ પટેલ, ઊંઝા તાલુકા માટે સ્મિતીકાબેન જીજ્ઞેશભાઈ સુથાર, ખેરાલુ તાલુકા માટે વિનાયક કનુભાઈ પંડયા અને કડી તાલુકા ઉપપ્રમુખ તરીકે ભરત ભુદરભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહઆ તમામ નવયુક્ત હોદ્દેદારોને સંગઠનની રીતિ-નીતિ મુજબ પક્ષના કાર્યોને વેગ આપવા અને જનતા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. નવા હોદ્દેદારોની વરણી થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(Photo: X/DrJitendraSingh) PMO Shift to Seva Teerth: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના નવા કાર્યાલય 'સેવા તીર્થ'માં શિફ્ટ થવા જઈ રહ્યા છે. બપોરે 1:30 વાગ્યે તેઓ આ નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે અને સાંજે 6:00 વાગ્યે 'સેવા તીર્થ' તથા 'કર્તવ્ય ભવન-1 અને 2'નું ઉદ્ઘાટન કરીને જનતાને સંબોધિત કરશે.
રાજ્યના યુવાનોને કૌશલ્ય સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ છે. આગામી બજેટમાં ITIમાં તાલીમ લેતા અંદાજે 1.58 લાખ યુવાઓને સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સાથે સંકળાવવા ‘યુવા કૌશલ્ય સ્પોર્ટ્સ સંકુલ’ યોજના જાહેર થવાની શક્યતા છે. સરકારનો હેતુ માત્ર રોજગારી પૂરતી તાલીમ આપવાનો નથી, પરંતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સ્પર્ધાત્મકતા વિકસાવવાનો પણ છે. બક્કાવાર અન્ય ITIમાં પણ સુવિધાઓ ઊભી કરાશેપ્રથમ તબક્કામાં રાજ્યની 20 પસંદગીની ITIમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે. લગભગ રૂ.12 કરોડના પ્રાથમિક ખર્ચથી મેદાનો, ઇન્ડોર હોલ, કોચિંગ સુવિધા અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવાશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય ITIમાં પણ સુવિધાઓ વિસ્તરશે. તાલીમ સાથે રમતગમતનો સમન્વયયોજનાનો વિશેષ ફોકસ એ રહેશે કે, ITIના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકાય. ઉદ્યોગગૃહો સાથે સંકલન કરીને ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્રાયોજકતા પણ ઉપલબ્ધ કરાવાશે. તાલીમ સાથે રમતગમતનો સમન્વય થવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમના સર્વાંગી વિકાસને વેગ મળશે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખી પહેલસૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને જ આ પહેલ કરવામાં આવી રહી છે. ITIમાં ફિટર, ઇલેક્ટ્રીશિયન, મશીનિસ્ટ જેવા ટ્રેડમાં તાલીમ લેતા યુવાઓ માટે હવે રમતગમત પણ કારકિર્દીનો વિકલ્પ બની શકે છે. આ યોજના અમલમાં આવ્યા બાદ કૌશલ્ય વિકાસ અને સ્પોર્ટ્સ વિકાસ વચ્ચેનું અંતર ઘટશે. સરકારનો દાવો છે કે “સ્કિલ અને સ્પોર્ટ્સ”ના સમન્વયથી યુવાનોને નવી દિશા મળશે અને રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનશે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થતાંની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ 7 સભ્યોએ રાજીનામાં આપ્યા બાદ, આજે વધુ 12 સભ્યોએ રાજીનામાં ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે રાજીનામું આપનારા હોદ્દેદારોની કુલ સંખ્યા 19 પર પહોંચી છે. નવા સંગઠન માળખામાં પદ ન મળતા નારાજગીઆ વિવાદનું મુખ્ય કારણ જિલ્લા ભાજપ સંગઠનમાં પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર જલાલપોર તાલુકાના એક પણ કાર્યકરને સ્થાન ન મળવું છે. જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક ભગુભાઈ પટેલને મહામંત્રી પદની અપેક્ષા હતી, પરંતુ તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા છે. 'પાર્ટી માટે લોહી રેડ્યુ પણ અવગણના થઇ'નારાજ હોદ્દેદારોએ છેલ્લા 5 દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જઈને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામાં મૂકી દીધા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષ માટે લોહી રેડનાર કરનારાઓની અવગણના કરવામાં આવી છે. ભાજપ માટે કપરી સ્થિતિ સર્જાવાની શક્યતાલાંબા સમયથી નવસારી જિલ્લા સંગઠન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. આ 'કોલ્ડવોર' હવે રાજીનામાના સ્વરૂપે બહાર આવતા આગામી જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કપરી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આજે આ સભ્યોએ રાજીનામા આપ્યાઆજે રાજીનામું આપનાર મુખ્ય સભ્યોમાં ધર્મેશભાઈ વલ્લભભાઈ પટેલ (ઉપપ્રમુખ, જલાલપોર તાલુકા ભાજપ), પ્રકાશ જી. દેસાઈ (કાર્યાલય મંત્રી, જલાલપોર તાલુકા ભાજપ), ભાવેશભાઈ છોટુભાઈ પટેલ (મંત્રી), નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ (મંત્રી), અજય કુમાર લલ્લુભાઈ પટેલ (ઉપપ્રમુખ), રાકેશ કુમાર ભીખુભાઈ પટેલ (મંત્રી), હર્ષા એમ. પટેલ (મંત્રી), ભવિષા ધર્મેશ રાઠોડ (મંત્રી), ઝંખના જે. પટેલ (મંત્રી) અને વીણા કલ્પેશ પટેલ (મંત્રી) નો સમાવેશ થાય છે. 'ભાજપ લોહીમાં છે, પણ અન્યાય સહન નહીં થાય'રાજીનામું આપનાર કેતન પટેલે જણાવ્યું કે, અમે જિલ્લામાં ભાજપને ઊભી કરવામાં લોહી રેડ્યું છે, પરંતુ જલાલપોરને હજુ સુધી એક પણ પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો મળ્યો નથી. અમે હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છીએ, પરંતુ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ ચાલુ રાખીશું. આગામી સમયમાં જલાલપોર તાલુકા સંગઠનમાંથી વધુ રાજીનામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જે ભાજપ હાઈકમાન્ડ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
S-400 Missiles: ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC) દ્વારા ગુરુવારે અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકના સૌથી મહત્ત્વના નિર્ણય અનુસાર, ભારત રશિયા પાસેથી ₹10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઈલો ખરીદશે. ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે. આ સોદા અંતર્ગત 120 ટૂંકા અંતરની અને 168 લાંબા અંતરની મિસાઈલોની ખરીદી 'ફાસ્ટ ટ્રેક મોડ' પર કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર
ભરૂચના ભોલાવમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સીસી રોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નારાયણ દર્શન-2 ખાતે બનેલા સીસી રોડનું લોકાર્પણ કરાયું, જ્યારે નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શનમાં નવા સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત થયું હતું. નારાયણ દર્શન-2 માં અંદાજિત રૂ. 15 લાખના ખર્ચે બનેલા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે પણ અંદાજિત રૂ. 15 લાખના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે, જેના કામનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. લોકોની સુખાકારી માટે આગામી દિવસોમાં પણ આવા અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. શિક્ષણ (રાજ્ય) મંત્રી રીવાબા જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત, બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક પણ યોજાઈ હતી. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો અને શૈક્ષણિક સંસ્થાઓના માન્ય સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, કલેક્ટરે પરીક્ષા સંબંધિત તમામ વિભાગોની સામેલગીરી સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા અને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખીને તંદુરસ્ત વાતાવરણમાં યોજાવી જોઈએ. જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ નિર્માણ થાય તે હેતુથી તમામ હેલ્પલાઈન નંબર જાહેર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશ પટેલે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કચેરી દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે બનાસ પરીક્ષા પથદર્શક અને સફળતાનું પંચામૃત જેવી પહેલો છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. કલેક્ટરે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વિશેષ તકેદારી રાખવા અને ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહિલાઓ નાઇટ શિફ્ટ કરી શકશે?:આવનારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા, સુરક્ષા પર ફોક્સ
રાજ્યમાં IT, સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને 24 કલાક કાર્યક્ષમ બનાવવા સરકાર કાનૂની સુધારા તરફ આગળ વધી રહી છે. મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે મજૂરી કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ તૈયાર થયો હોવાનું સૂત્રો જણાવે છે. હાલ કાયદો અમલમાં આવ્યો નથી, પરંતુ આવનારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા છે. ‘મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મળશે’ઉદ્યોગ ક્ષેત્રે વધતા વૈશ્વિક પ્રોજેક્ટ્સ અને રોકાણોને ધ્યાનમાં રાખીને કુશળ મહિલા માનવશક્તિનો ઉપયોગ વધારવો જરૂરી બન્યો છે. સરકારનો લક્ષ્ય આગામી ચાર વર્ષમાં આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી 40 ટકા સુધી પહોંચાડવાનો છે. ફરજિયાત પિક-અપ અને ડ્રોપ જેવી જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવાની શરતપ્રસ્તાવ મુજબ, રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફરજિયાત પિક-અપ અને ડ્રોપ, કાર્યસ્થળે સીસીટીવી, મહિલા સુરક્ષા અધિકારી, ઇમરજન્સી હેલ્પલાઈન અને આરામ સમય જેવી જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવામાં આવશે. ઓવરટાઈમ અને અન્ય કામકાજની શરતો પણ સ્પષ્ટ કરવામાં આવશે. સુરક્ષા જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા મહિલા સંગઠનોની માગઉદ્યોગ જગત આ સુધારાની રાહ જોઈ રહ્યું છે, જ્યારે મહિલા સંગઠનો સુરક્ષા જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા માગ કરી રહ્યા છે. હવે નજર વિધાનસભા સત્ર પર છે, જો બિલ પાસ થશે તો રાજ્યના ઉદ્યોગ અને મહિલા રોજગાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે.
કેન્દ્ર સરકારની 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ નવનિર્મિત ગોધરા રેલવે સ્ટેશન પર થયેલી ભાષાકીય ભૂલ મુદ્દે રેલવે તંત્રએ સુધારાત્મક કાર્યવાહી કરી છે. પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 પર લગાડવામાં આવેલા સાઈન બોર્ડ પર ઉર્દૂને બદલે અરબી લિપિનો પ્રયોગ થયો હતો. જેનો અહેવાલ 7 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સમગ્ર ઘટના શું હતી?અમૃત ભારત યોજના અંતર્ગત કરોડોના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. સ્ટેશનના આધુનિકીકરણના ભાગરૂપે વિવિધ પ્લેટફોર્મ પર માર્ગદર્શક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. રેલવેના નિયમ મુજબ સ્ટેશનનું નામ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ચોથી ભાષા તરીકે ઉર્દૂમાં લખવાનું હોય છે. જોકે, ગોધરા સ્ટેશનના નવા બોર્ડ પર ઉર્દૂના સ્થાને અરબી ભાષામાં લખાણ લખવામાં આવ્યું હતું. અહેવાલની અસરઆ ગંભીર ભાષાકીય ક્ષતિ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ સ્થાનિક મુસાફરો અને ભાષાના નિષ્ણાતોમાં નારાજગી જોવા મળી હતી. અહેવાલના પગલે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના બાદ રેલવે તંત્રએ તાત્કાલિક ધોરણે પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 પરથી વિવાદિત લખાણ દૂર કર્યું છે. ભૂલનો સ્વીકાર: રેલવે તંત્રએ પોતાની ગંભીર ક્ષતિ સ્વીકારીને લખાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી. નવી પ્રક્રિયા: હાલમાં આ સાઈન બોર્ડ પર નિયમ મુજબ સાચી લિપિમાં લખાણ લખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્ટેશનનો કાયાકલ્પ: આધુનિક સુવિધાઓ સાથે સ્ટેશનને સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં હવે ભાષાકીય ચોકસાઈ પર પણ ધ્યાન આપવામાં આવશે.
આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં શહેર ના આઠ રૂટ પર સીટી બસ સેવાનો પ્રારંભ થશે આવતીકાલે મહાનગરપાલિકાના 45માં સ્થાપના તથા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલે PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. રૂટ અને આયોજન શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.
સોમનાથ રોડ પરની સિદ્ધાર્થ સોસાયટીમાં ચોરી:તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડી 67 હજારની મતા ચોરી
મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણાના અને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં આ ચોરીની ઘટના બની છે, જે અંગે મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈફરિયાદી અરુણાબેન ગિરીશભાઈ પરમાર સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેમનું મહેસાણા સ્થિત મકાન મોટાભાગે બંધ રહે છે. ગત 10 ફેબ્રુઆરીની રાત્રિથી 11 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગત 11 ફેબ્રુઆરીની રાત્રે ફરિયાદીના ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈ હતી. તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીતસ્કરોએ ઘરમાં રાખેલી તાંબાની ગોળી,પિતળનું બેડું, તાંબાનું બેડું તેમજ સ્ટોર રૂમમાં રાખેલા ચાંદીના 20 સિક્કા આશરે 56,000 રૂપિયાની કિંમતના અને ચાંદીની લગડી સહિત કુલ 67,300 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે અરુણાબેને મહેસાણા 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના હૃદય સમાન રેસકોર્સ ગાર્ડન ખાતે રૂ. 10,000,000 (રૂ. 1 કરોડ) ના ખર્ચે શહેરનું સૌ પ્રથમ 'ગ્લો ગાર્ડન' બનાવવાની મહત્વકાંક્ષી જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાંકિય વર્ષ 2026-27 ના બજેટમાં આ પ્રોજેક્ટને સ્થાન આપીને હાલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના મનોરંજનમાં એક નવું નજરાણું ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગ્લો ગાર્ડન માત્ર એક બગીચો જ નહીં, પરંતુ રાત્રિના સમયે પ્રકાશ અને કલાના સમન્વયથી ઉભું કરવામાં આવેલું એક અદભૂત વિશ્વ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકો અને ખાસ કરીને બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મનોરંજન પૂરું પાડવાનો છે. પ્રદ્યુમન પાર્ક, રામવન અને અટલ સરોવર જેવા સફળ પ્રવાસન સ્થળોની યાદીમાં હવે આ ગ્લો ગાર્ડનનો પણ સમાવેશ થશે, જે શહેરના પર્યટન મૂલ્યમાં વધારો કરશે. આ ગ્લો ગાર્ડનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, અહીં અદ્યતન ટેકનોલોજી અને આધુનિક લાઇટિંગ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. બગીચામાં વિવિધ પશુ-પક્ષીઓના વિશાળ કદના મોડેલ્સ તૈયાર કરવામાં આવશે, જે રાત્રિના અંધકારમાં ઝળહળી ઉઠશે. આ મોડેલ્સમાં વપરાતી લાઈટિંગ એવી રીતે ગોઠવવામાં આવશે કે તે કુદરતી આભા પેદા કરે. બાળકો માટે આ એક સ્વપ્ન જેવી દુનિયા હશે, જ્યાં બગીચાના વૃક્ષો અને છોડવાઓને પણ એલ.ઈ.ડી. અને ફાઈબર ઓપ્ટિક્સ જેવી ટેકનોલોજીથી શણગારવામાં આવશે, જેથી આખું પરિસર રાત્રે દૂધિયા અને રંગીન પ્રકાશથી ઝળહળતું રહેશે. આ ગાર્ડનનું નિર્માણ કાર્ય મે-2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ રેસકોર્સ વિસ્તારની રોનક બદલાઈ જશે. સાંજ પછી જ્યારે શહેરની લાઈટો શરૂ થાય, ત્યારે ગાર્ડન પોતાની ખાસ લાઇટિંગ ઇફેક્ટ્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. મનપા દ્વારા આ ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ્સ, આકર્ષક વોક-વે અને બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ આરામથી આ અદભૂત નજારાનો આનંદ માણી શકે. આ પ્રોજેક્ટ માટે રૂ. 10,000,000 ની રકમ ફાળવીને વહીવટી પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવી છે. રેસકોર્સ ગ્લો ગાર્ડન માત્ર મનોરંજન જ નહીં, પરંતુ રાજકોટના આધુનિકીકરણ અને 'સ્માર્ટ સિટી' ના અભિગમને પણ વેગ આપશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાસે આકાર લઈ રહેલા લાયન સફારી પાર્કમાં પણ એન્ટ્રન્સ પ્લાઝામાં લોન એરિયા, વેસ્ટ ટુ વન્ડર, કેક્ટસ થીમ ગાર્ડન, બફર ટ્રી પ્લાન્ટેશન, ફ્લાવર બેડ, બાંબૂ ગ્રાસ થીમ ગાર્ડન, ફાઈકસ અને બોગનવેલ થીમ ગાર્ડન સહિત બટરફલાય લેન્ડસ્કેપ ડિઝાઈન જેવા વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવશે. તેમજ બોટનીકલ ગાર્ડન, નવા બગીચાઓ, અને વિવિધ સ્થળોએ બાલ ક્રિડાંગણ તથા ફિઝીકલ ફિટનેસના સાધનો મૂકવાનું આયોજન છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગતમોડી રાતે ઘાતક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના નારીરોડ રામદેવનગર ખાતે રહેતા યુવક પર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખસે તલવાર, ધારિયું અને છરી વડે હુમલી કરી લોહીલુહાણ કર્યો હતો. યુવકને માથા અને મોઢાના બાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મારામારીની ઘટના સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેથી ત્રણ શખસના હાથમાં હથિયારો જોવા મળી રહ્યાં છે. એક યુવકના હાથમાં તલવાર અને દારૂની બોટલ પણ જોવા મળી હતી. હાલમાં પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદને મામાના દીકરાએ ઘટનાની જાણ કરીબોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ રમેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં 12 ફેબ્રુઆરની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતાં. આ સમયે તેમના મામાના દીકરાએ દોડી આવી તેમના સાળા સંજય ઉર્ફે સાંગા પર વસરામભાઈની દુકાન પાસે રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી સ્થળે જતા નાનો સાળો ગંભીર હાલતમાં પડ્યો હતોવાકત સાંભણીને તાત્કાલિક કાળુભાઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને સંજય ઉર્ફે સાંગા લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો જોવા મળ્યો હતો. તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટાભાઈની બબાલમાં જતાં આરોપીએ લોહીલુહાણ કર્યોપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થતી વખતે આરોપીઓની બોલાચાલી થઈ હતી અને એક થપ્પડ મારવામાં આવી હતી. આ બાબતે વાત કરવા નાના સાળા સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચતા જ રાહુલ ઉર્ફે ઢેલે તલવાર વડે, સંદીપ ઉર્ફે સુનોએ ધારિયા વડે અને અજાણ્યા વ્યક્તિએ છરી વડે માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરીહાલમાં આ મામલે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 109(1), 115(2), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો વીજ બીલનો મામલો સામે આવ્યો છે. શહેરના સુભમપુરા વિસ્તારમાં એક દુકાનદારને નવું મીટર લગાવ્યા બાદ 78 હજારથી વધુનું બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ તેઓએ વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આટલું મોટું બિલ જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો. વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવવામાં આવ્યું હતું. પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા. બિલની રકમ 78,605.44 રૂપિયા હતી. આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો. દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફરિયાદી અજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું. આજે સવારે મેં મારું વીજળી બિલ ગુગલ પે પર ચેક કર્યું હતું. તેમાં 78,000 રૂપિયાથી વધુની રકમ દેખાઈ હતી. જે જોઈને મને આઘાત લાગ્યો હતો. અને હું ચિંતામાં મુકાઈ ગયો હતો. સામાન્ય રીતે મારું બે મહિનાનું બિલ 1,200થી 1,500 રૂપિયાની આસપાસ હોય છે. આટલી મોટી રકમ જોઈને હું ખૂબ ચિંતિત થઈ ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું તાત્કાલિક અલકાપુરીમાં GEBની ઓફિસે ગયો અને ત્યાં પટેલ સાહેબની મુલાકાત લીધી હતી. તેમણે મને ખૂબ સારો સહકાર આપ્યો હતો અને સ્વીકાર્યું હતું કે, આ બિલમાં કોઈ ભૂલ છે. કદાચ મીટર રીડિંગ લખવામાં કર્મચારીની કોઈ ભૂલ થઈ હશે. તેઓએ કહ્યું હતું કે, મારી વિનંતી છે કે, જ્યારે પણ કર્મચારીઓ મીટર રીડિંગ લેવા આવે, ત્યારે તેઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. મોંઘવારીના આ સમયમાં આટલી મોટી રકમના બિલ જોઈને સામાન્ય માણસ ખૂબ તણાવમાં આવી જાય છે. હું લોકોને કહેવા માંગું છું કે જો આવું કોઈ બિલ આવે, તો ગભરાવાની જરૂર નથી. GEB ની ઓફિસે જઈને ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. તેઓનો રિસ્પોન્સ સારો હોય છે.
ગોધરા-પરવડી બાયપાસ પર અકસ્માત:ઈકો અને બાઇક અથડાતા માંડલીનો યુવાન ગંભીર રીતે ઘાયલ
ગોધરાના પરવડી બાયપાસ ચોકડી પર એક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઈકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં બાઇક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર, માંડલી ગામના રહેવાસી રાકેશભાઈ ખાટ પોતાના બાઇક પર ગોધરા ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. તેઓ પરવડી બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઝડપથી આવતી ઈકો ગાડી સાથે તેમનો અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રાકેશભાઈને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પાટણમાં ગટર લાઈન ચોકઅપ:સફાઈમાં મેડિકલ વેસ્ટ મળ્યો, જૂના બસ સ્ટેન્ડ પાસે કપડાંનો જથ્થો પણ નીકળ્યો
પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થવાની સમસ્યા સામે આવી હતી. પાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરી દરમિયાન લાઈનમાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના બાદ પાલિકા તંત્રએ નાગરિકોને ગટરમાં કચરો ન ફેંકવા અપીલ કરી છે. વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતી આ મુખ્ય ભૂગર્ભ ગટર લાઈન છેલ્લા કેટલાક સમયથી જામ થઈ ગઈ હતી. ગટર લાઈન ચોકઅપ થવાને કારણે ગંદા પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાટણ નગરપાલિકાના ગટર વિભાગને જાણ થતાં જ તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સફાઈ કામગીરી શરૂ કરી હતી. પાલિકાના સફાઈ કામદારો અને ટેકનિકલ ટીમે જ્યારે ગટર લાઈન ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી મોટા પ્રમાણમાં વપરાયેલો મેડિકલ વેસ્ટ અને જૂના કપડાંનો જથ્થો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઘરેલું વપરાશના પાણી માટે બનેલી આ લાઈનમાં પ્રતિબંધિત મેડિકલ વેસ્ટ અને કાપડ ફેંકવામાં આવતા લાઈન સંપૂર્ણપણે પૂરાઈ ગઈ હતી. પાલિકા તંત્ર દ્વારા કલાકોની જહેમત બાદ તમામ કચરો બહાર કાઢીને ગટર લાઈનને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી હતી. હાલમાં ગટર લાઈન પૂર્વવત બની છે અને પાણીનો નિકાલ શરૂ થયો છે. આ ઘટનાને પગલે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ શહેરના વેપારીઓ અને નાગરિકોને ભૂગર્ભ ગટર લાઈનમાં મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક કે જૂના કપડાં જેવો કચરો ન નાખવા અપીલ કરી છે. આવા કચરાને કારણે લાઈન વારંવાર જામ થાય છે અને જાહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થાય છે.
વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા-ભત્રીજા પર લોખંડના સળિયાથી હુમલો થયો હતો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા મુજબ, તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 કલાકે ધોબીતળાવ પાસે રહેતા શ્યામ દેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે વાતચીત કરવા ગયા હતા. ત્યાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને ઢીંકમુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન, ચારેય આરોપીઓએ ભેગા મળી હિતેશ અને વિરજ પર પણ હુમલો કર્યો હતો. શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો મારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો એકઠા થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હિતેશ ગાયકવાડને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે BNS ની કલમ 115(2), 118(1), અને 54 મુજબ ગુનો નોંધી તપાસ ચાલુ રાખી છે. પોલીસે હોસ્પિટલ જઈ હિતેશનું નિવેદન પણ લીધું છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ નજીકથી ખોટી નંબર પ્લેટવાળા ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વી.એમ. વણકરે ટેન્કર માલિક લક્ષ્મણ રામ ભીમારામ મુલારામ ઇસરામ જાટને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 6000નો દંડ ફટકાર્યો છે. આ ઘટના 28 જુલાઈ, 2018ના રોજ સમી-રાધનપુર હાઈવે પર બાસ્પા ગામના બસ સ્ટેન્ડ પાસેથી નાકાબંધી દરમિયાન બની હતી. પોલીસે રૂ. 6,24,000નો વિદેશી દારૂ અને રૂ. 5 લાખનું ટેન્કર મળી કુલ રૂ. 11,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી લક્ષ્મણ રામ જાટ (ઉં.વ. 30), જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અનદાનીયોન કા તલાનો રહેવાસી છે, તેને તે દિવસે રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 465 (બનાવટી દસ્તાવેજ બનાવવો) અને 468 (છેતરપિંડીના હેતુથી બનાવટી દસ્તાવેજ બનાવવો) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કલમ 465 હેઠળ, આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવી પડશે. જ્યારે કલમ 468 હેઠળ, ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 5000નો દંડ કરવામાં આવ્યો છે, જેમાં દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની જોગવાઈ છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ એમ.જે. કોરાટે રજૂઆત કરી હતી. કોર્ટે પોતાના 40 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમાજમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સામાજિક સુરક્ષાની સ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે. આરોપીએ પોતાની માલિકીના ટેન્કરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ગુનો આચર્યો હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું હતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે, IPC 465માં બે વર્ષ અને 468માં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આવા ગુનાઓ વારંવાર બનતા હોવાથી સમાજમાં દાખલો બેસે તે હેતુથી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ આરોપી લક્ષ્મણરામ સામે અગાઉ નોંધાયેલા અન્ય એક ગુનામાંથી તેને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.
હિંમતનગરના મહેતાપુરામાં આવેલી ત્રિવેણી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અનોખા સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 350 થી વધુ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષણ કાર્યનું સંચાલન કર્યું હતું, જે બાદ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સ્વ-શાસન દિન દરમિયાન, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના શિક્ષકો તરીકે ભણાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ આચાર્યની ભૂમિકા પણ નિભાવીને શાળાના સંચાલનનો અનુભવ મેળવ્યો હતો. બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરીને આ દિવસનો આનંદ માણ્યો હતો. શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના આચાર્ય શંભુભાઈ ભટ્ટ અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે(13 ફેબ્રુઆરી) બપોરે 12 વાગ્યે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે. વિધાનસભા પરિસરમાં રાજકીય ચહલપહલ વચ્ચે તેમના સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે. પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિતમાહિતી મુજબ, પૂર્ણેશ મોદીનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સત્તારૂઢ પક્ષ તરફથી તેમના નામ પર સહમતિ બનતા અન્ય કોઈ ઉમેદવારી દાખલ થવાની શક્યતા ઓછી છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતાફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેશે તેવી માહિતી મળી રહી છે. આ પ્રસંગે વિધાનસભા પરિસરમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવે છેઉલ્લેખનીય છે કે અગાઉ ઉપાધ્યક્ષ પદ ખાલી થતા નવા ચહેરા તરીકે પૂર્ણેશ મોદીના નામની ચર્ચા ચાલી રહી હતી. પાર્ટી સંગઠન અને સરકારમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવનાર પૂર્ણેશ મોદી હવે વિધાનસભાના ગૌરવપૂર્ણ પદ પર બેસવા જઈ રહ્યા છે. ઉપાધ્યક્ષ અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છેજો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે તો આવનારા સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાના નિયમો અનુસાર ઉપાધ્યક્ષ ગૃહના સંચાલનમાં અધ્યક્ષને સહયોગ આપે છે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંભાળે છે. સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશેગાંધીનગરના રાજકીય વર્તુળોમાં આજે આખો દિવસ આ ઘટનાને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળશે.
સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી, સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાઇરલ કરનાર શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. વધુ વ્યૂઝ-લાઈક્સ મેળવવા યુવકે ઝઘડામાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત કહ્યાગઈકાલે(12 ફેબ્રુઆરી) સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વીડિયો ઉતારી લીધો હતો. વધુ વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વીડિયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે, આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ તપાસમાં દાવો ખોટો નીકળ્યોઆ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વીડિયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વીડિયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માંગીપોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી. તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે. મિત્રો, તમે આવા ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો નહીં. યાદ રાખજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનોસુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો. કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વીડિયો કે માહિતી વાઇરલ કરવી એ ગુનો છે અને તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. અફવા ફેલાવનારાઓ સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે.
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં 800 કિલો શક્કરિયા અને ફ્રૂટનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિર પરિસરમાં ભવ્ય મેળો પણ ભરાશે, જેમાં ખાણી-પીણી અને રમતગમતના 30 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવશે. મંદિરમાં મહા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન થશે. મહાશિવરાત્રીના મેળા અને સ્વયંભૂ ભોલેશ્વર દાદાના દર્શન માટે આવનારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સ્ટોલની તૈયારીઓ અને મંદિરમાં તોરણ સહિતની સજાવટનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
પાડોશી જ ચોર નીકળ્યો:હળવદના ટીકર ગામે 3.94 લાખના સોનાની ચોરીમાં આરોપી ઝડપાયો
હળવદના ટીકર ગામે એક યુવાનના ઘરમાંથી રૂ. 3.94 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી પાડોશી આરોપીની ધરપકડ કરી ચોરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ટીકર ગામના સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં.વ. 24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે તેમના બંધ ઘરને નિશાન બનાવીને સોનાના બે હાર, બે કાનની બુટ્ટી, એક શેર અને બે વીંટી સહિત કુલ સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની કુલ કિંમત રૂ. 3,94,057 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ટીકર ગામના વિશાલ રમેશભાઈ ખાંભડિયા (ઉં.વ. 21) નામના આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરી થયેલો સોનાનો 100 ટકા મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કર્યો છે. હળવદના પીઆઈ ડી.વી. કાનાણી પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી ફરિયાદીનો પાડોશી છે. તેને જાણ હતી કે ઘર બંધ છે અને ઘરમાં કિંમતી સામાન છે. મીઠાની સિઝન હોવાથી ફરિયાદી અને તેમનો પરિવાર રણમાં ગયો હતો, ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવી ઘરના તાળાં તોડીને સોનાના દાગીનાની ચોરી કરી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે(12 ફેબ્રુઆરી) શહેરના નરોડા વિસ્તારમાં કાપડી વાસ પાસે દારૂ પીધેલા કાર ચાલકે બેફામપણે કાર ચલાવી સામેથી એક્ટિવા પર બાળકી સાથે આવતા દંપતીને ટક્કર મારી હતી. જેથી ત્રણેય લોકો નીચે પડી ગયા હતા. ચાર વર્ષની બાળકીને મોઢાના અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે પતિ-પત્નીને પણ ઇજાઓ થતા ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગાડીએ ટક્કર મારતા પતિ-પત્ની બાળક નીચે પટકાયાશહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી અંજની રેસીડન્સીમાં રિતેશ ખટનાની તેમના પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ તેમના પત્ની અને ચાર વર્ષની બાળકીને લઈને એક્ટિવા પર તેમના સાળીના ઘરે ગઇકાલે રાત્રે મળવા માટે ગયા હતા. સવા નવ વાગ્યાની આજુબાજુ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નરોડા કાપડીવાસ પાસે પહોંચતા સામેના ભાગેથી બેફામ સ્પીડે એક કારચાલક આવ્યો હતો. કાર ચાલકે સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રિતેશભાઈ તેમના પત્ની અને નાની બાળકી ત્રણેય નીચે પડી ગયા હતા અને તેઓને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલક ભાગી જતા સ્થાનિકોએ પીછો કરી પકડ્યોઅકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીતેશભાઈએ તેમના મિત્રોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ગાડીમાંથી દારૂની બોટલ મળી108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા જી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે કારચાલક રાઘવેંદ્ર તેજભાન સીંગ (ઉ.વ 31, રહે. દેવમાણીક ફ્લેટ, શ્રીનાથ પાર્ટી પ્લોટ પાસે, નવા નરોડા, મુળ વતન ગામ-કુસમી તા-ઉચાઆહાર થાના-જગતપુર જી-અયોધ્યા ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ (ટીન) જોરદાર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી. જોકે કામદાર બહાર નીકળી જતા બચી ગયો હતો. બ્લાસ્ટના કારણે બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન થયું હતું. ગેસની નાની બોટલ એકાએક ફાટીમળતી માહિતી પ્રમાણે, રૂઢનાથપુરામાં ચોથ્યા શેરીમાં મકાનમાં જ્વેલર્સના દાગીનાના બનાવવાનું કારખાનું આવેલુ છે. કારખાનમાં એક કામદાર કામ કરવામાં વ્યસ્ત હતો. દરમિયાન દાગીના બનાવવા માટે ઉપગોય કરવામાં આવેતી બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ગેસની નાની બોટલ (ટીન) એકાએક જોરદાર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોકે સદનશીબે ત્યાં હાજર એક વ્યકિત બચી જતા તરત બહાર દોડી ગયો હતો. ફાયર અને પોલીસ સ્થળે દોડી ગઈબ્લાસ્ટના બનાવના લીધે ત્યાંના લોકોમાં ભય ફેલાતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ફાયર બિગ્રેડ અને પોલીસકર્મીઓને જાણ થતા ઘટનાસ્થળે ધસી જઈને કામગીરી કરી હતી. જયારે ટીન ગેસની નાની બોટલ બ્લાસ્ટ થવાના લીધે બાંરણા-બારીના કાંચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતનો માલ સામન અને ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.
ગુજરાત સરકારે પ્રભારી મંત્રીઓની જેમ ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 35 જેટલા ડીઆઈજી કક્ષાના અધિકારીઓની નિમણૂક કરી છે. આ પહેલ અંતર્ગત અમરેલી જિલ્લાની મહત્વપૂર્ણ જવાબદારી ડીઆઈજી રાજન સુશરાને સોંપવામાં આવી છે. તેઓ વર્ષ દરમિયાન દર મહિને બે દિવસ માટે અમરેલીની મુલાકાત લેશે અને કાર્યવાહીનો અહેવાલ ડીજીપી તથા ગૃહ વિભાગને મોકલશે. ડીઆઈજી રાજન સુશરા દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પોતાનો ટૂર પ્રોગ્રામ બનાવી અમરેલી જિલ્લા પોલીસ વડાને અગાઉથી જાણ કરશે. તેઓ બીજા અને ત્રીજા સપ્તાહમાં કાર્યક્રમ પૂર્ણ કરી, ચોથા સપ્તાહમાં ગૃહ વિભાગ અને ડીજીપીને અહેવાલ સુપરત કરશે. તેમની મુલાકાતમાં અમરેલીના એસપી, ડીવાયએસપી, પોલીસ સ્ટેશનો અને અન્ય કચેરીઓનો સમાવેશ થશે. તેમને સૂચના આપવામાં આવી છે કે વર્ષ દરમિયાન જિલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવી અને એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત ટાળવી. આ વ્યવસ્થા હેઠળ, જો અરજદારોને પોલીસમાં રજૂઆત કર્યા બાદ સીધો ન્યાય ન મળ્યો હોય, તો તેઓ સીધા ડીઆઈજીનો સંપર્ક કરી શકશે. ડીઆઈજી મુખ્યમંત્રી કાર્યાલય, સ્વાગત કાર્યક્રમો, સાંસદો, ધારાસભ્યો, ડીજીપી અને પોલીસ અધિક્ષક કચેરીઓ તરફથી મળતી અરજીઓનું યોગ્ય અને સમયસર નિરીક્ષણ થયું છે કે કેમ તેની ચકાસણી કરશે. તેઓ દફતરે કરાયેલી અરજીઓ પૈકી 10 થી 15 અરજદારોનો રૂબરૂ સંપર્ક કરીને તેમની અરજીઓ ખરેખર દફતરે કરવા લાયક હતી કે કેમ તેની પણ ચકાસણી કરશે. પ્રભારી મંત્રીઓ જેમ સરકારને રિપોર્ટ આપે છે, તેવી જ રીતે ડીઆઈજી સીધો રિપોર્ટ રાજ્યના પોલીસ વડા (ડીજીપી) અને ગૃહ વિભાગને આપશે. આ વિઝિટ અંગેની સૂચના સંબંધિત પોલીસ વડાને લેખિતમાં આપવાની રહેશે. ડીજીપી તમામ મળેલા અહેવાલોની ચકાસણી કરીને ગૃહ વિભાગને મોકલી આપશે, જેથી સૂચનાઓનું પાલન સુનિશ્ચિત થાય.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં પરંપરાગત રમતોત્સવનો પ્રારંભ:350થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 12 ફેબ્રુઆરી, 2026થી પરંપરાગત રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બાકરોલ સ્થિત સરદાર પટેલ મેદાન ખાતે આ સ્પર્ધાઓ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય અને સંસ્કૃતિના જતન માટે આ આયોજન સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે, જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ વિભાગના કાર્યકારી નિયામક ડો. ભાઈલાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને મોબાઈલની દુનિયામાંથી મેદાન પર પાછા લાવવા અને તેમને વિસરાતી જતી રમતોથી પરિચિત કરાવવાનો આ આયોજનનો મુખ્ય હેતુ છે. આ રમતોત્સવમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વિવિધ પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગિલી ડંડા, લખોટીઓ, સતોડ્યું, ભમરડા, કોથળાદોડ, લંગડી અને લીંબુ ચમચી જેવી રમતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વધશે અને તેઓ માનસિક તેમજ શારીરિક રીતે મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ માટે બંધ:વૈકલ્પિક રસ્તાઓ પર વાહનચાલકોને વાળવા પોલીસ પોઈન્ટ કાર્યરત
મોરબીનો મચ્છુ નદી પરનો 142 વર્ષ જૂનો પાડાપુલ ગુરુવાર, 12 ઓક્ટોબરની મધ્યરાત્રિથી સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગો પર વાળવા માટે શહેરભરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. આ પુલના સમારકામ માટે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા બે દિવસ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ગુરુવાર રાત્રિના 12 વાગ્યાથી પુલ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝનની અમલવારી શરૂ કરી દેવાઈ છે. હળવા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબીના બેઠાપુલ પરથી બાઇક, સ્કૂટર, રિક્ષા અને કાર જેવા વાહનો શહેરમાં પ્રવેશી શકશે. જ્યારે મયુર પુલ પરથી આ જ પ્રકારના વાહનો સામાકાંઠા તરફ જઈ શકશે. એસ.ટી. બસો માટે પણ નવા રૂટ જાહેર કરાયા છે. રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ જતી અને આવતી બસો હવે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી પસાર થઈને દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને રવિરાજ ચોકડી તરફથી અવરજવર કરશે. કચ્છ તરફથી આવતી બસો માળિયા ફાટક અને અમદાવાદથી આવતી બસો મહેન્દ્રનગર ચોકડી થઈને રવિરાજ ચોકડીથી શહેરમાં પ્રવેશ કરશે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પુલના સમારકામ પાછળ અંદાજે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને લગભગ 45 દિવસ સુધી પુલ બંધ રહેશે. પુલના કુલ 19 ગાળા (સ્પાન) પૈકી, પાડા પાસેથી નટરાજ ફાટક તરફના રસ્તામાં આવતા 9 ગાળાનું સમારકામ કરવામાં આવશે. આ કામગીરીમાં 54 બેરિંગ બદલવા અને 10 જોઈન્ટ્સ બદલવાનો સમાવેશ થાય છે.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામે મહાશિવરાત્રીના પર્વે લાખો ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા આયોજન ગોઠવાયું છે. ભક્તિ અને ભાવના વચ્ચે ભક્તોને નિરાંતે દર્શન મળે અને દરેક યાત્રી પોતાને સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ તંત્રે બહુસ્તરીય બંદોબસ્ત ઉભો કર્યો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા પ્લાન અમલમાં મૂકાયો છે. મહાશિવરાત્રીના દિવસે અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો આવવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પધારવાના હોવાથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ આયોજન અંતર્ગત 11 DYSP, 50થી વધુ PI/PSI, જીઆરડી અને એસઆરપી સહિત 500થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે. ઉપરાંત ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, ઘોડેસ્વાર પોલીસ, મેટલ ડિટેક્ટર તથા બોડીવોર્ન કેમેરાથી સજ્જ દળો સતત પેટ્રોલિંગ કરશે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં 70થી વધુ CCTV કેમેરા દ્વારા સતત મોનીટરીંગ થશે અને કંટ્રોલ રૂમમાંથી દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગો ગોઠવાયા છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ ઝોન નિર્ધારિત કરાયા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગદર્શક બેનરો, જાહેર સૂચનાઓ અને વોલન્ટિયરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તા. 14 અને 15ના રોજ પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર સહિતના કલાકારોના ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાથી સાંજના સમયગાળા દરમિયાન સુરક્ષા વધુ કડક રહેશે. મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને સુરક્ષાનો અદભૂત સમન્વય સર્જાયો છે. ગીર સોમનાથ પોલીસની સુવ્યવસ્થિત કામગીરી ભક્તોને નિરાંતે દર્શન અને શાંતિપૂર્ણ ઉજવણીનો વિશ્વાસ આપી રહી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યપાલે ગામના અનુસૂચિત જાતિના નાગરિક ધીરુભાઈ જેઠાભાઈ વાઘેલાના નિવાસસ્થાને જમીન પર બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં, રાજ્યપાલે તમામ વી.આઈ.પી. પ્રોટોકોલને બાજુએ રાખી અત્યંત સાદગી અને નમ્રતાનો પરિચય આપ્યો હતો. તેમણે એક પરિવારના સભ્યની જેમ ધીરુભાઈના પરિવાર સાથે ભાવપૂર્વક ભોજન લીધું હતું. રાજ્યપાલની આ સહજતા અને આત્મીયતાએ સ્થાનિક ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. આ અવિસ્મરણીય પળો અંગે હર્ષ અને આશ્ચર્ય વ્યક્ત કરતા ધીરુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'અમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના રાજ્યપાલ સાહેબ અમારા જેવા સામાન્ય માણસના ઘરે પધારશે. તેમણે અમારી સાથે બેસીને ભોજન લીધું અને અમારા પરિવારના હાલચાલ પૂછ્યા, જે અમારા માટે ગૌરવ અને ખુશીની વાત છે.' રાજ્યપાલના આ ઉમદા અભિગમથી ગદગદ થયેલા ધીરુભાઈએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 'સાહેબે અમારા જેવા ગરીબ માણસોના ઘરે પધારીને માત્ર ભોજન જ નથી લીધું, પણ અમારા આખા પરિવારના ખબર-અંતર પૂછીને અમને જે આત્મીયતાનો અહેસાસ કરાવ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.'
ચિરાગ ગોટી અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવેલા આતંકનો હવે અંત આવી રહ્યો હોય તેવું જણાય છે. સુરતની ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ જ નહીં, પરંતુ તેના ગુનાહિત કૃત્યોમાં પડછાયાની જેમ સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે 'ગુજસીટોક' જેવા કડક કાયદા સુધી પહોંચી ગયો છે. ચિરાગ ગોટીની માથાભારે છાપ અને તેના તાલીબાની અત્યાચારના કિસ્સાઓ હજુ શાંત પડ્યા નથી ત્યાં તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડથી આ ગેંગના મૂળિયાં હચમચી ગયા છે. સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કાળા કામમાં મદદગાર સાબિત થયા હતા. જમીન દલાલ જીગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી અને નિરાંત ગોટી સહિતના સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી કરીને પિતાની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનાર પણ કાયદાથી બચી શકશે નહીં. જમીન દલાલને ધમકાવી પૈસા પડાવ્યાંઆ સમગ્ર કેસનો મુખ્ય આધાર જીગ્નેશ મગનભાઈ વ્યાસ નામની વ્યક્તિ છે. જીગ્નેશભાઈનું અપહરણ કરી તેમની પાસે બે લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ગુંડાગીરીના જોરે ચિરાગ અને તેની ગેંગે 50,000 રૂપિયા તો પડાવી પણ લીધા હતા. આ ઘટનાએ સુરતના રિયલ એસ્ટેટ અને જમીન દલાલીના વ્યવસાયમાં ફફડાટ ફેલાવ્યો હતો. ચિરાગની ગેંગ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. ભાગીદારને ફસાવવાનું ષડયંત્ર: ડ્રગ્સ કેસમાં ખોટી સંડોવણીચિરાગ ગોટીની ક્રૂરતાની હદ ત્યારે વટાવી જ્યારે તેણે પોતાના ભૂતપૂર્વ ભાગીદારને જ ખતમ કરવાનું વિચાર્યું. ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થયા બાદ, અદાવત રાખીને ચિરાગે પોતાના જ ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે જાળ બિછાવી હતી. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે પોલીસને ચિરાગની વધુ કરતૂતોની જાણ થઈ. એક ગુનાની તપાસ બીજા અનેક ગુનાઓ ખોલે છે, તેમ ચિરાગની ધરપકડ બાદ તેની વિરુદ્ધ ફરિયાદોનો ધોધ વહેવા લાગ્યો છે. ગુજસીટોકનો ગાળિયો: સંગઠિત ગુનાખોરી સામે હથિયારચિરાગ ગોટી વિરુદ્ધ અગાઉ સાતથી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે તેની ગેંગની સંગઠિત ગુનાખોરીને તોડવા માટે 'ગુજસીટોક' હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદો લાગુ થતાની સાથે જ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બની જશે અને તેમની ગેરકાયદે મિલકતો પર પણ પોલીસની નજર રહેશે. એસ.ઓ.જી દ્વારા જે રીતે તપાસ તેજ કરવામાં આવી છે, તે જોતા લાગે છે કે આ ગેંગના કાયમી જેલવાસના દિવસો નજીક છે. પિસ્તોલથી ધાક જમાવવાનો પ્રયાસચિરાગ ગોટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તે રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર સાથે જોવા મળ્યો હતો. એસ.ઓ.જી ના ડીસીપી રાજદીપ સિંહ નકુમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ હથિયાર અસલી પિસ્તોલ છે કે એરગન, તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હથિયાર બતાવીને લોકોમાં ભય પેદા કરવો એ આ ગેંગની પદ્ધતિ રહી છે. જો આ હથિયાર ગેરકાયદે સાબિત થશે, તો આર્મ્સ એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભોગ બનેલા લોકોમાં હિંમત જાગી, 10 વધુ ફરિયાદીચિરાગ ગોટીની ધરપકડ થતા જ લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ જે લોકો ડરના માર્યા ચૂપ હતા, તેવા વધુ 10 લોકો અત્યારે પોલીસ સમક્ષ હાજર થયા છે. આ લોકોએ ચિરાગ અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા અન્યાયની વિગતો પોલીસને આપી છે. પોલીસ હાલ આ તમામ અરજીઓની ખરાઈ કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ફરિયાદો પણ દાખલ કરવામાં આવશે. આ બાબત દર્શાવે છે કે જ્યારે કાયદો કડક બને છે, ત્યારે સામાન્ય માણસની હિંમત બમણી થઈ જાય છે. લુખ્ખાઓથી ડરવાની જરૂર નથીઃ પોલીસએસ.ઓ.જી ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જાહેર જનતાને અપીલ કરી છે કે ચિરાગ ગોટી જેવા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસે ખાતરી આપી છે કે જે પણ લોકો ભોગ બન્યા છે તેઓ નિર્ભય બનીને સામે આવે, પોલીસ તેમને સંપૂર્ણ સહકાર આપશે. પ્લોટ કે જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં પણ કડક હાથે કામ લેવામાં આવશે.
અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબૂ છે. ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની છે. ગઇકાલે(12 ફેબ્રઆરી) મોડી રાત્રે ચાની કીટલી પર નહીં બેસવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં ત્રણ શખ્સોએ આવીને ચાની કીટલીવાળાને પગમાં ગોળી ધરબી દીધી અને કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી ફરાર થઈ ગયા હતા. તો અન્ય એક બનાવમાં ફતેવાડીમાં જ ગઇકાલે સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા શખસને છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂટ ચલાવી હતી. સમગ્ર મામલે જાણ થતાં સુપરવાઇઝર સ્થળ પર પહોંચ્યા તો તેમને પણ આરોપીઓએ છરીના ઘા માર્યા હતા. ચાની કીટલી પર આવીને ફાયરિંગ કર્યુંફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે. તેઓની તેમના વિસ્તારમાં ચાની કીટલી આવેલી છે. મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાની કીટલી પર અરબાઝ તથા તેના બે મિત્રો જેના નામ-સરનામાની ખબર નથી. ચાની કીટલી પાસે આવીને અગાઉ ચાની કીટલી ઉપર નહી બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલી ફૈઝાન કયા છે. આજે તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરીઓ હતી. મુદ્દસરને પગમાં ગોળી મારીબે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ચાની કીટલી પર ચલાવી હતી. અરબાઝના બે મિત્રો પાસે છરી પણ હતી. બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા હતા. પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂંટતો અન્ય એક બનાવમાં ગઈકાલે સવારે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફતેવાડી વિસ્તારમાં છરી બતાવીને ચાંદી અને મોબાઈલની લૂંટની ઘટના પણ બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ફરજ બજાવનાર મૂળ દાહોદનો રહેવાસી નઇલેશ ભાભોર વહેલી સવારે તેની પત્ની સાથે ગાડી લઈને ફતેવાડી કેનાલની પાછળ એ વન પાર્ક નજીક જ્યારે કચરો લેવા માટે ગયો હતો ત્યારે બે લોકો આવ્યા હતા ને તું કેમ કચરો બરાબર ભરતો નથી એમ કહીને ઝઘડો કર્યો હતો. એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢી નઇલેશના શરીરના ભાગે મારી દીધી હતી અને તેની પાસે રહેલી ચાંદીની લકી અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. અને ધમકી આપી હતી કે જો આ વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું. સુપરવાઇઝરને પણ છરીના ઘા માર્યાબીજી ગાડીના ડ્રાઇવરનો મોબાઇલ ફોન લઈ અને તેના સુપરવાઇઝરને ફોન કર્યો હતો ત્યારે તેઓ આવ્યા હતા અને બંને દૂર જ હતા જેથી તેની પાસે જઈ અને આ બાબતે વાતચીત કરતા ઝઘડો કરવા લાગ્યા હતા અને સુપરવાઇઝર શહેઝાદને પણ અલગ અલગ જગ્યાએ શરીરના ઘા મારી દીધા હતા. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ એક આરોપીને પકડી પોલીસને સોંપ્યોજોકે તેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી અને પોલીસને સોંપી દીધો હતો. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપી અનસ શેખની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ બેથી ત્રણ વખત જાહેરમાં છરી બતાવી અને હુમલાના બનાવ બાદ હવે ફાયરિંગનો બનાવ બનતા વેજલપુરના ફ્તેહવાડી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે.
ત્રણેક માસ પૂર્વે ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને દીકરો ભવ્યને મોતને ઘાટ ઉતારી દફનાવ્યો હતો જેમાં ગુમની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તપાસ શરૂ કરી અને ખોદકામ દરમ્યાન ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા.જે ચકચારી ત્રીપલ હત્યા કેશમાં SITની રચના કરવામાં આવી હતી જે SIT દ્વારા સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને સાહેદોની પૂછપરછથી 1500 થી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરીને શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં આજરોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેસમાં કડક સજા કરવા માટે સ્પેશિયલ પીપીની પણ માંગણી કરવામાં આવી છે. 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યાંઅત્રે ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બર, 2025ના રોજ ભાવનગરમાં કાળજું કંપાવતી ત્રીપલ હત્યા થઈ હતી, જેના 85 દિવસ પછી પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસને 90 દિવસની અંદર (3 મહિના)માં ચાર્જસીટ કરવાનું હોય, ત્યારે 5 દિવસ પૂર્વે 85માં દિવસે સાયોગિક પુરાવાના આધારે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં પંચો, ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસકર્મીઓ, આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ 164 મુજબ 3 ફોરેસ્ટ અધિકારી અને 1 ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેશ ખાંભલાની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ, એફએસલ રિપોર્ટ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસે આ બનાવમાં નજરે જોનાર કોઈ વ્યક્તિ ન હોય ત્યારે સાયોગિક પુરાવાના આધારે પોલીસે કેશને સજ્જડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. 7 નવેમ્બરે આરોપીએ જ પોલીસમાં મિસિંગ અરજી કરી હતીઃ DYSP આ અંગે સિટી DYSP આર. આર. સિંઘાલ જણાવ્યું હતું કે, આશરે ત્રણેક મહિના પહેલાનો ત્રિપલ મર્ડરનો બનાવ છે, જેમાં પોતાની પત્ની, એની દીકરી અને દીકરાને મોતને ઘાટ ઉતારી, તેના સરકારી બંગલાની પાસે ખાડો ગાડી અને તેમાં આ લોકોને દફનાવી દીધા હતાં. બાદમાં પોલીસ સ્ટેશન આવીને જાણવા જોગ ગુમ થયાની અરજી દાખલ કરી હતી. 7 નવેમ્બરના રોજ ફરિયાદી શૈલેષ ખાંભલા ભરતનગર પોલીસ સ્ટેશન આવીને જણાવે છે કે, તેમની પત્ની નયનાબેન (ઉં.વ.40), તેની દીકરી પ્રુથા (ઉં.વ.13) અને તેનો દીકરો ભવ્ય (ઉં.વ.9)ના ગઈ 5 નવેમ્બરથી ગુમ છે અને તેનો ઘરનો દરવાજો બંધ છે અને આ લોકોના કપડા મળતા નથી. ‘ત્રણ દિવસની તપાસ બાદ તપાસ LCBને સોંપાઈ હતી’આ બાબતે તાત્કાલિક ભરતનગર પોલીસ સ્ટેશને ગુમ રજીસ્ટર કરવામાં આવી અને તેની ફરિયાદ અનુસંધાને પી.આઈ કુરેશી અને તેનો સ્ટાફ તપાસ કરતા હતા. ત્રણથી ચાર દિવસ થઈ જતા આ સમાજના આગેવાનો આવી એસપી નિતેશ પાંડેને રજૂઆત કરતા એસપી દ્વારા એક ટીમની રચના કરી એલસીબી પીઆઇ વાળા અને એસીબી પીએસઆઇ ઝાલાને તપાસ સોંપવામાં આવી હતી. તેના સીડીઆર અને અંગત બાતમીદારોથી બાતમી મળી હતી કે, શૈલેષ ખાંભલાના સરકારી ક્વાટર પાસે ખાડો ખોદવામાં આવ્યો છે અને તે ખાડો બુરવામાં આવ્યો. ‘ખોદકામ કરતા ત્રણ લાશ મળી આવી હતી’આ માહિતી મળતા આ બનાવમાં મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વીડિયોગ્રાફર, એફએસએલ અધિકારી અને ડોગ સ્ક્વોડ સાથે જે જગ્યા હતી, ત્યાં ખોદકામ કરતાં ત્રણ લાશ મળી આવી હતી. જે લાશને મરણજનારની બેનને ઓળખાવતા લાશ નયનાબેન, પ્રુથા અને ભવ્યની હોવાનું સાબિત થયું હતું, જેથી આ બનાવમાં સરકાર તરફે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી તરીકે જે ફરિયાદી હતા તે જ આરોપી હોય તે રીતની ફરિયાદ દાખલ કરવામાં આવી. આ બનાવમાં પી.આઈ કુરેશી તપાસ ચલાવી રહ્યા હતા. શૈલેષ ખાંભલાને સજા થાય તે માટે સ્પેશિયલ પીપીની માગ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવને લઈ એસ.પી નિતેશ પાંડે દ્વારા એક SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી, એલસીબી, પીએસઆઇ અને બે રાયટરોની જે ટીમ બનાવી ખૂબ જ સજ્જડ પૂરાવા મેળવવા માટે તજવીજ કરવામાં આવી. જેમાં લાગતા-વળગતા સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા. ઓળખ પરેડ પણ કરવામાં આવી, જે આ બનાવનો આરોપી શૈલેષ ખાંભલાને ઓળખી કાઢ્યો હતો. સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ બધું મેળવી 1500થી વધુ પુરાવા મેળવી 12 ફેબ્રુઆરીએ નામદાર કોર્ટમાં શૈલેષ ખાંભલા વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે. આ કેસમાં શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને સ્પેશિયલ પીપીની માંગણી એસ. પી. નિતેશ પાંડે દ્વારા કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં લોક અદાલત યોજાશે:14 માર્ચ, 2026ના રોજ સમાધાન લાયક કેસોનો નિકાલ થશે
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા તથા તાલુકાઓની તમામ કોર્ટોમાં 14 માર્ચ, 2026ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ અને તેની તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આ અદાલતનું આયોજન ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પ્રશાંત એચ. શેઠના માર્ગદર્શન હેઠળ કરાયું છે. આ લોક અદાલતનો મુખ્ય હેતુ 'ન્યાય સર્વના માટે' સૂત્રને સાર્થક કરવાનો છે, જેથી જિલ્લાના તમામ પક્ષકારોને તેનો લાભ મળી શકે. આ અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતા કેસો, મજૂર તકરારને લગતા કેસો, લગ્નજીવન તકરાર કે પરિવાર તકરારને લગતા કેસો, બેંકને લગતા, જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ તેમજ દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાન લાયક કેસો મૂકી શકાય છે. ઉપરાંત, પ્રી-લીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં દાખલ થયા ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તેવી તકરારોના કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ લાવવા માટે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય, તેઓ પોતે કે પોતાના વકીલો મારફત સંબંધિત અદાલતમાં પોતાના કેસો મૂકી શકે છે. આ માટે તેમણે સંબંધિત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન દ્વારા નિર્મિત બોટનિકલ ગાર્ડન વિદ્યાર્થીઓ માટે રિસર્ચનું કેન્દ્ર બન્યું છે કારણકે અહીં પ્રાકૃતિક ખેતી અને મેડિશનલ પ્લાન્ટનો અનોખો સમન્વય છે. 5 એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં જંગલી બદામ, મીઠો લીમડો, પારસ પીપળો અને નીલગીરીના મેડિશનલ પ્લાન્ટની સાથે ગુલાબી અને લીલી કોબી, ટામેટા, ગાજર અને રિંગણનું વાવેતર કરાયું છે. અહીં દુનિયામાં હરણફાળ ભરતા ઓર્નામેન્ટલ ફિશિઝના બિઝનેસને ડેવલપ કરવા પદ્મકુંડનું નિર્માણ પણ કરાયું છે. જેનો સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ થવાનો છે. ભવિષ્યમાં અહીં બટરફ્લાય અને ફ્રૂટ ગાર્ડનની સાથે ગ્રીન હાઉસ બનાવવાનું પણ આયોજન છે. બાયોસાયન્સ ભવનના અધ્યક્ષ ડૉ.રમેશ કોઠારીએ જણાવ્યુ હતુ કે, આજથી 20 દિવસ પહેલા કુલપતિએ મને કહ્યું કે અહીં પ્રાકૃતિક ખેતી કે તેને સંલગ્ન કઈ થાય. અમારા ભવનમાં M.Sc. માઇક્રોબાયોલોજી, ઝૂ લોજી, બોટની અને બાયોટેકનોલોજી વિષયના વિદ્યાર્થીઓ માટે બોટનિકલ ગાર્ડન ખૂબ જ ઉપયોગી બને છે. જેથી આ બોટનિકલ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં મેડિસનલ પ્લાન્ટ રાખવામાં આવ્યા છે. અહીં મેથી, ધાણા, કોબી, મરચા અને રીંગણનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખીને આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ 20 પ્રકારના મેડિસનલ પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થિની મીરા ઓડિચે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ બોટનિકલ ગાર્ડનમાં પદ્મ કુંડ તૈયાર કરવામાં આવ્યુ છે. અહીં ઓપન એક્સપરિમેન્ટલ સ્પેસ છે જ્યાં અમારા જેવા વિદ્યાર્થીઓ રિસર્ચ કરી શકે છે. ન્યુ એજ્યુકેશન પોલીસી અંતર્ગત અહીં ઓર્નામેન્ટલ ફિશ પરનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. જેનાથી પણ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ અંગે અધ્યાપક ડૉ. ભાવિક વાંકાણીએ જણાવ્યુ હતુ કે, જાપાન, ચીન અને ઇન્ડોનેશિયા 180 મિલિયન ડોલર ઓર્નામેન્ટલ ફિશિઝની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આગામી પાંચ વર્ષમાં આ ઉત્પાદન ક્ષમતા બે ગણી થવાની સંભાવના છે ત્યારે વર્લ્ડના ચાલી રહેલા ટ્રેન્ડની સાથે જોડાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓર્નામેન્ટલ ફિશિઝનો કોર્સ શરૂ કરવાની તૈયારી છે. બોટનિકલ ગાર્ડનમાં કયા કયા મેડિસન પ્લાન્ટ છે? બહેડા, કાંચનાર, ફાલસા, જંગલી બદામ, જાસુદ, અશોક, મીઠો લીમડો, સેતુરી, સિંદુર, અર્જુન સાદડ, બીલી, મોટા રાવણા, ગરમાળો, ખાખરો, કરમદા, પારસ પીપળો, ફણસ, કરંજ અને નીલગીરીના પ્લાન્ટ છે. આ ઉપરાંત અહીં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા ગુગળનો પ્લાન્ટ છે. જે દરેકના 3- 3 પ્લાન્ટનું વાવેતર અહીંના વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીથી ઉગતા શાકભાજી આરોગ્યપ્રદ બનશે અહીં પ્રાકૃતિક ખેતીનો પ્રકલ્પ સાકાર કરવામાં આવ્યો છે. જેમાં કોથમરી, મેથી, પાલક, ગાજર, મુળા, બીટ, 2 પ્રકારના ટામેટા, કોબી, રીંગણ, મરચીનું વાવેતર કરવામાં આવ્યું છે.
પાટણ શહેરમાં વસ્તી અને ભૌગોલિક વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સફાઈ કામદારોનું મહેકમ વર્ષ 1961નું જૂનું છે. આ કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ રહી છે. પાટણ વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળે નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરીને કાયમી સફાઈ કામદારોની સંખ્યા વધારવા અને નવું મહેકમ મંજૂર કરવા માટે દરખાસ્ત મોકલવાની માંગ કરી છે. વર્ષ 1961માં પાટણ નગરપાલિકા માટે 210 સફાઈ કામદારોનું મહેકમ નક્કી કરાયું હતું. છેલ્લા છ દાયકામાં પાટણનો વિકાસ થયો છે અને તે જિલ્લા મથક બન્યું છે, તેમ છતાં સફાઈ કામદારોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. નિવૃત્ત થતા કામદારોના સ્થાને નવી ભરતી ન થવાને કારણે હાલમાં માત્ર 71 કાયમી સફાઈ કામદારો જ ફરજ બજાવી રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરની સ્વચ્છતા પર ગંભીર અસર કરી રહી છે. નગરપાલિકાને કરાયેલી રજૂઆત મુજબ, વર્ષ 2015થી પાટણ નગરપાલિકાની હદમાં આશાપુર, માતરવાડી, રામનગર અને બકરાતપુરા જેવા નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થયો છે. સફાઈ કામદાર આયોગ, દિલ્હીના નિયમ અનુસાર, 1 લાખની વસ્તીએ ઓછામાં ઓછા 500 કાયમી સફાઈ કામદારો હોવા અનિવાર્ય છે, જેની સામે પાટણમાં કામદારોની મોટી અછત છે. પ્રધાનમંત્રીના 'સ્વચ્છ ભારત' અભિયાનને સાકાર કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું નવું મહેકમ તૈયાર કરીને સરકારમાં મોકલવું જરૂરી બન્યું છે. આ મામલે વાલ્મિકી સમાજ સેવા વિકાસ મંડળના આગેવાન રામજીભાઈ સોલંકીએ જણાવ્યું કે, નગરપાલિકા પ્રમુખે રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને આ પ્રશ્ન યોગ્ય હોવાનું સ્વીકારી ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મોકલવાની ખાતરી આપી છે. નવું મહેકમ મંજૂર થાય તો જ શહેરની સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બની શકશે.
આજે ટેકનોલોજી જેમ-જેમ આધુનિક થઈ રહી છે, તેમ-તેમ હવે બુટલેગરો પણ અપડેટ થઈ અવનવા નુસખા અપનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છે. કોઈ સમજી કે વિચારી ન શકે તેવી ટેકનિક અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ હાઈટેક તરકીબને જોઈ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી. ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રસ્તામાં વોચ ગોઠવીવડોદરા ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયા અને ટીમ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની ખુલ્લી બોડીવાળી ગાડીમાં અંડરગ્રાઉન્ડ ખાનું બનાવી વિદેશી દારૂ દુમાડ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લામડાપુરા કેનાલ પાસે, પેટ્રોલ પંપ નજીક સાવલી-વડોદરા રોડ પર ગાડીની વોચ રાખી હતી. ગાડીની તપાસ કરતા બે શખસ મળી આવ્યાંબાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી બે વ્યક્તિ મળી આવ્યા હતા, જેમાં કલુ ઉર્ફે કલ્પેશ ચીમનભાઈ જાતે નાયક (રહે. ભીંડોલ, વાઘ ફળીયું, તા. જેતપુરપાવી, જિ. છોટાઉદેપુર), અરૂણભાઈ હીરાભાઈ જાતે તડવી (રહે. પાનવડ, જુના પટેલ ફળીયા, તા. કવાટ, જિ. છોટાઉદેપુર)ને ઝડપી પૂછપરછ કરતા પોલીસે હકીકત બહાર લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર સીટની નીચે ચોરખાનું મળી આવ્યુંતપાસ દરમિયાન ગાડીની કેબિનમાં ડ્રાઇવર સીટની નીચે તથા પાછળની બોડીમાં પાર્ટીશન પાડી ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં કુલ 124 ક્વાર્ટર-બીયરની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.2,95,567 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે ગાડી સહિત કુલ રૂપિયા 5,15,567 ના મુદ્દામાલ સાથે બે ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. MP બોર્ડરથી દારૂની હેરાફેરીપૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, દારૂનો જથ્થો એમ.પી.બોર્ડર પાસેથી ગાડીમાં ભરીને લાવવામાં આવ્યો હતો અને તે નમીસરા ગામના રાકેશ નામના વ્યક્તિને આપવાનો હતો. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આ જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાતે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા. સાધુના આ રૌદ્ર અને અસંયમિત રૂપને જોઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યાં હતા. સૂતેલા લોકોને ડરાવ્યાં, વાંદરાએ અનેકને બચકા ભર્યાઆ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો. આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસને જાણ થતા સ્થળે દોડી આવીસ્થાનિક લોકો અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
સ્ટેટ જીએસટીના ભાવનગર યુનિટ દ્વારા કમ્પોઝિશન ટેક્સ તળે નોંધાયેલા કરદાતા તેઓની મુક્તિ મર્યાદાથી વધુના વેચાણ કરી અને કરચોરી કરી રહ્યા હોવાની ડેટા ચકાસણીના આધારે કરવામાં આવેલી રેડમાં વેરો, વ્યાજ, દંડના 20 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે કપડા ભાડે આપી રહેલી વાઘાવાડી રોડ પર આવેલી પેઢી એ-1 શેરવાની દ્વારા કમ્પોઝિશન ગુડ્ઝ શ્રેણીમાં તેઓને મળી રહેલી વેચાણ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની ફલીત થયું હતુ. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી કરતા તેઓને કોમ્પ્યુટર ડેટા, ભાડે અપાતા કપડાના ભાડા વસુલીના રેકોર્ડમાં ગોલમાલ, બેંક ખાતાની વિસંગતતા મળી આવી હતી. પેઢી પાસેથી 20 લાખ રૂપિયાનો દંડ, વ્યાજ, વેરો વસુલવામાં આવ્યો હતો. સ્ટેટ જીએસટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કમ્પોઝિશન ગુડ્ઝ અને કમ્પોઝિશન સર્વિસ ડિલરો દ્વારા તેઓના કમ્પોઝિશન ટેક્સ રજીસ્ટ્રેશનમાં આપવામાં આવેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી અને વધુ રકમનું વેચાણ કરી રહ્યા હોવાનું કોમ્પ્યુટર ડેટા, જુના રિટર્ન અને માર્કેટમાં ગુપ્ત રાહે શકમંદ વેપારીઓની કરવામાં આવેલી રેકી બાદ વધુ વેપારીઓ પણ શંકાના પરિઘમાં આવેલા છે, અને હાલ તેઓના ડેટા એનાલીસીસનું કામ ચાલી રહ્યું છે.
પઠાણી ઉઘરાણી:યુવકની ગેરહાજરીમાં વ્યાજખોરે ઘરે આવી પત્નિ પાસેથી રૂપિયા 8 હજાર પડાવી લીધા
ભાવનગર શહેરમાં રહેતા એક યુવકે પીરછલ્લાના વ્યાજખોરને 1.20 લાખ રૂપિયા વ્યાજ સહિત ચુકવી આપવા છતાં પણ વ્યાજખોરે યુવકની ગેરહાજરીમાં ઘરે આવી, યુવકની પત્નિ પાસેથી આઠ હજાર રૂપિયા પડાવી, યુવક પાસેથી વધુ 1.20 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, ગાળો આપી, માનસિક ત્રાસ ગુજારતા ડ્રાઇવીંગ કરતા યુવકે પીરછલ્લાના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવીંગ કરતા સુનીલભાઇ પ્રવીણભાઇ પુરોહીતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને એકાદ વર્ષ અગાઉ ટ્રકના વ્યવસાય માટે રૂપિયાની જરૂર પડતાં પીરછલ્લા મંગલમ ફ્લેટમાં રહેતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ પરમાર નામના શખ્સ પાસેથી રૂા. 1,00,000 દસ ટકા લેખે લેવાનું નક્કી કરેલ હતુ. જેને લઇને જીતેન્દ્રભાઇએ અગાઉથી દસ હજાર કાપી સુનીલભાઇને 90,000 રૂપિયા દસ ટકા લેખે વ્યાજે આપેલ હતા. જે બાદ સમયાંતરે સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ જીતેન્દ્રભાઇને ફોન પે તેમજ અન્ય રીતે ચુકવી દિધેલ હતી. જે બાદ પણ જીતેન્દ્ર નામના વ્યાજખોરે સુનીલભાઇને વધુ રૂા. 1.20 લાખ મુદ્દલની રકમ આપવી પડશે તેમ કહી, અવાર નવાર ત્રાસ આપતા હતા. જે બાદ એક દિવસ સુનીલભાઇ ઘરે હાજર ન હોય જે દરમિયાન જીતેન્દર્ પરમાર મોટર સાયકલ લઇને સુનીલભાઇના ઘરે આવી, સુનીલભાઇના પત્નિને ધોકો બતાવી, તારો ઘરવાળો ક્યાં ગયેલ છે? મારી પાસેથી વ્યાજે લીધેલ પૈસા હજુ હજુ પુરા પાડેલ નથી અને જો મને તારો પતિ વ્યાજ સહિત રૂાપિયા 1.20 લાખ પાછા નહીં આપે તો હું તને તથા તારા પતિ સુનિલને ગમે ત્યાંથી ગોતીને મારી નાંખીશ તેમ ધમકી આપી, સુનીલભાઇના પત્નિ પાસે રહેલા રૂા. 8,000 પડવી લઇ ફરાર થઇ જતાં સુનીલભાઇ પુરોહિતે આનંદનગરના વ્યાજખોર વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. વ્યાજખોરે યુવક પાસેથી ટ્રકની આર.સી.બુક પડાવી લીધેલીવ્યાજખોર જીતેન્દ્ર પરમારે એક લાખ રૂપિયા વ્યાજે આપી, સુનીલભાઇ પાસે લખાણ કરાવેલ હતી અને બાદમાં સુનીલભાઇના ટ્રકની આર.સી.બુક પડાવી લેવામાં આવી હતી. સુનીલભાઇએ વ્યાજ સહિત રૂા. 1.20 લાખ ચુકવી આપવા છતાં પણ વધુ રૂા. 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી આર.સી.બુક ન આપી, ત્રાસ આપ્યાનું જાણવા મળ્યું હતું.
બોર્ડની પરીક્ષા:આ વર્ષે જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં 1,453 પરીક્ષાર્થીનો વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે જેમાં ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષામાં 61,057 પરીક્ષાર્થી હતા તેમાં આ વર્ષે 1,453નો વધારો થયો છે. જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.ભાવનગરના ડીઇઓ કચેરીમાંથી ઇઆઇ વિક્રમસિંહ પરમાર હાજર હતા. ભાવનગર જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 2197 બ્લોકમાં 62,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6,292 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં ધો.10માં ત્રણ ઝોન રાખવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ અને મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય તેમજ મહુવામાં કે.જી.મહેતા કન્યા વિદ્યાલયને સમાવેશ કરાયો છે. જ્યારે શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલમાં સામાન્ય પ્રવાહ માટે અને તળાજા મોડેલ સરકારી વિનિયન કોલેજ તળાજામાં બનેમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ઝોનલ કચેરી રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધો.10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન રજૂ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સેન્ટર આજુબાજુ ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર બંધ રાખવા આદેશપરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિકસ ગેઝેટ લઈ જવા તથા તેના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં 4 કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લામાં પરીક્ષાર્થી અને સેન્ટરની સંખ્યા વધારાની બસો ફાળવવા તાકીદ કરાઇકેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે સાથે પરીક્ષાની તૈયારીઓ કરી હતી.
MLA દ્વારા કરાઈ રજૂઆત:વલભીપુર CHCમાં તબીબોની તાત્કાલિક નિમણૂંક કરવા ધારાસભ્યની રજૂઆત
વલભીપુર ખાતે 26મી જાન્યુઆરી-2026ના પ્રજાસત્તાક પર્વની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વલભીપુર CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર)ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વલભીપુર તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બે માળની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે વલભીપુર CHCમાં ડોક્ટરોના અભાવે ર્દદીઓ હાલાકી ભોગવી રહ્યાના સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલની અસરથી CHCમાં તબીબોની તાત્કાલિક નિમણુંક કરવા ધારાસભ્યએ રજુઆત કરી છે. વલભીપુરની મુલાકાતે આવેલા ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયાએ વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા બે ડોકટરોની તાત્કાલીક રીતે નિમણુંક કરવામાં આવે તેવી રાજયના આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત કરી છે. CHCમાં તબીબોની નિમણુંક ઉપરાંત CHC કેમ્પસમાં આવેલ જર્જરીત બની ગયેલા સ્ટાફ કવાર્ટસની જગ્યાએ નવા કવાર્ટસ બનવવાની માંગણી કરી છે. વલભીપુરમાં કરોડો રૂપીયાના ખર્ચે બનાવામાં આવેલ આધુનીક સુવિધાસ્ભર સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત જરૂરી તબીબોને અભાવે વરરાજા વગરની જાન જેવી સ્થિતિ સર્જાણી છે. વલભીપુર CHC નિયમિત ત્રણ તબીબોની સામે હાલ માત્ર એક તબીબ જ હાજર હોય છે. જેમાં બે તબીબ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા પછી એક તબીબ પુન: ફરજ પર હાજર થઇ ગયા છે અને બીજા તબીબ હજુ હાજર થયા નથી. જેને લઇ વલભીપુર તાલુકામાં નારાજગી ફેલાઇ છે ત્યારે વલભીપુર તાલુકાની જનતા આરોગ્યલક્ષી પ્રશ્નો બાબતે અખબારી અહેવાલને પગલે પ્રજાના પ્રતિનિધિ એવા ગઢડાના ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા તબીબોનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી આશા જન્મી છે. વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની નિમણુંક થાય તો તાલુકાના લોકોને ભાવનગર સુધીનો ધક્કો ખાવાનો બંધ થઈ જાય છે ત્યારે આ બાબતે સંબંધિત તંત્રવાહકોએ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
ભાવનગર જિલ્લાના સિહોર ગામે એક શખ્સે જાહેરમાં કુહાડી લઇને નિકળ્યો હતો અને આતંક મચાવ્યો હતો જે બાદ કચરો ફેંકવા જતા એક વૃદ્ધા ઉપર કુહાડીથી જીવલેણ હુમલો કરી, માથાના ભાગે કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જે દરમિયાન વૃદ્ધાને બચાવવા દોડેલા યુવકને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જે ઘટના બાદ ગંભીર હાલતે વૃદ્ધા અને યુવકને સારવારમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધાના પુત્રએ શખ્સ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના સિહોર ગામે રૂખડાવાળી શેરી મોટા ચોકમાં રહેતા અને કલર કામ કરતા ધર્મેશભાઇ રામજીભાઇ પલાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સિહોર રેલ્વે સ્ટેશન ઉપર કલર કામ કરી રહ્યા હતા જે દરમિયાન તેમના પુત્રનો ફોન આવેલ અને બાને માથાના ભાગે ઇજા થઇ છે તેમ કહેતા ધર્મેશભાઇ ઘરે દોડી આવ્યા હતા. જે બાદ તેમના માતા હીરાબેન આજે તેમના ઘરે હતા તે વેળાએ તેઓ કચરો ફેંકવા ઘરની બહાર ગયા હતા. જે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતો ભુપત શાંતીભાઇ હરીયાણી કુહાડી સાથે ધસી આવ્યો હતો અને કચરો ફેંકવાની દાઝ રાખી વૃદ્ધા હિરાબેન ઉપર કુહાડી લઇને તૂટી પડ્યો હતો અને હિરાબેનને માથાના ભાગે કુહાડીના ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા. જે વેળાએ હિરાબેને બચાવોની રાડો પાડતા કૃપાલભાઇ નામનો યુવક હિરાબેનને બચાવવા દોડી પડ્યો હતો જેને પણ શખ્સે કુહાડીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં સિહોરમાં ભારે ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. જે ઘટના બાદ વૃદ્ધા હિરાબેન અને કૃપાલભાઇને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં હિરાબેનના પુત્ર ધર્મેશભાઇએ ભુપત શાંતિભાઇ હરીયાણી વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારમાર્યો:બેલા ગામે પુત્રએ મિત્રો સાથે મળી મોટાભાઇ-પિતાને ગંભીર મારમાર્યો
તળાજાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેના પુત્રને ખોટી લત્તે ચડેલા મિત્રો સાથે ન રહેવા બાબતે ઠપકો આપતા પુત્રએ ત્રણ મિત્રો સાથે મળી પિતા અને મોટા ભાઇને શરીરના જુદા જુદા ભાગો ઉપર આડેધડ ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં પિતા-પુત્રને ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં પિતાએ પુત્ર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમાર (ઉ.વ.70)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે રહેતા દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર, રાજુ બીજલભાઇ પરમાર ત્રણેય ખોટી લત્તે ચડેલા હોય જેની સાથે લાલજીભાઇનો પુત્ર વશરામ રહેતો હોય જેની સાથે ન રહેવા માટે લાલજીભાઇએ તેમના નાના પુત્ર વશરામભાઇને ઠપકો આપ્યો હતો. જેને લઇને તેમના પુત્ર સહિત ચારેય શખ્સોએ એક સંપ કરી, પિતા વશરામભાઇ અને મોટા ભાઇ અજયભાઇને લાકડાના ધોકાથી શરીરના ભાગો ઉપર ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પિતા લાલજીભાઇ બહાદુરભાઇ પરમારએ તેમનો નાનો પુત્ર વશરામ લાલજીભાઇ પરમાર, દિનેશ બીજલભાઇ પરમાર, શૈલેષ બીજલભાઇ પરમાર અને રાજુ બીજલભાઇ પરમાર વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડ:બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ શખ્સોની ધરપકડ કરાઇ
ભાવનગરના સિહોર ગામના નવાગામથી કનીવાવ ગામ તરફ જવાના રસ્તે બે પરિવારો વચ્ચે જમીન પ્લોટની વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક શખ્સો દ્વારા સશસ્ત્ર હથિયારો ધારણ કરી, બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ સર્જાતા સિહોર પોલીસે ફરિયાદી બની સોળ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. જે મામલે સિહોર પોલીસે બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સહિત દસ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સિહોર ખાતે ગઇકાલે રાત્રીના રોજ બે પરિવારો વચ્ચે ચાલી આવતા જમીન પ્લોટના વિવાદને લઇને સિહોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલનો પરિવાર તેમજ સામા પક્ષે રહેલા પરિવારના સોળ શખ્સો દ્વારા જૂથ અથડામણ સર્જાવા પામી હતી. જે મામલે સિહોર પોલીસ ફરિયાદી બની હતી અને સોળ શખ્સો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે સિહોર પોલીસે સિહોર ખાતે રહેતા અને બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ લખનસિંહ ભુપતસિંહ નકુમ, શૈલેષ દિપશંગભાઇ મોરી, દશરથ દેવશંગભાઇ પરમાર, પ્રતાપ જેસંગભાઇ પરમાર, વિક્રમ જેઠાભાઇ પરમાર, મોન્ટુ જેસંગભાઇ ચૌહાણ, હિતેશ દિપશંગભાઇ ચાવડા, મનુ વજાભાઇ નકુમ, કાળુ હરિભાઇ નકુમ, પ્રતાપ દેહાભાઇ નકુમની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.
વીજકર્મીઓએ વ્યક્ત કર્યો વિરોધ:ભાવનગર સહિત રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ
પાવર સેક્ટરમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાનગીકરણ અને આઉટસોર્સીંગ નીતિને પ્રાધાન્ય આપતા વીજળી (સુધારા) બિલ-2025 મામલે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યમાં હજારો વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. દિલ્હી સંસદભવનમાં રજૂ થનારા વીજળી (સુધારા) બિલ-2025 મામલે કેન્દ્ર સરકારના મક્કમ વલણના વિરોધમાં 12મી ફેબ્રુઆરીના AIPEF (ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશ)ની સાથે ગુજરાતમાં GEBEA અને AGVKS સંગઠનો સાથે જોડાયેલા સભ્યો પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ભાવનગર શહેરમાં સ્થાનિક કક્ષાએ ચાવડી ગેટ સ્થિત PGVCL ભાવનગર સર્કલ કચેરીની બહાર જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે જોડાયેલા એન્જીનીયર્સ તથા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. PGVCLમાં ભાવનગર સર્કલ કચેરી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, અંજાર, ભુજ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર સર્કલ કચેરીઓમાં પણ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો થયા હતા. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયાવીજળી (સુધારા) બિલ-2025ના વિરોધમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં આજે ગુજરાત રાજ્યમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં 45 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હોવાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો ત્યારે જો વીજળી (સુધારા) બિલ-2025 લાગુ કરવાનો પ્રયાસ કરાશે તો AIPEFની સૂચના અનુસાર વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે. > એચ.જી.વઘાસિયા, જનરલ સેક્રેટરી, જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન
વિશ્વમાં મહાશિવરાત્રીના દિવસે કલ્યાણકારી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપવા અવિકારી રૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રી જે કલ્યાણની રાત્રી ગણવામાં આવે છે શિવકુંજ ધામ ખાતે ભવનાથ મહાદેવની તમામ પ્રહરની પૂજા વિવિધ રસોથી ભગવાનને અભિષેક કરીને કરવામાં આવશે જેમાં ખાસ કરીને દૂધ, શેરડીનો રસ ,મધ, કેરીનો રસ એટલે કે ફળોના રસનો તેમજ ગર્ભસ્થ જળ એટલે કે શ્રીફળના જળથી ભગવાનનો અભિષેક સાથે રૂદ્રાભિષેક અને પાઠાત્મક લઘુરૂદ્ર દ્વારા ભગવાનની અર્ચના કરવામાં આવશે .શિવ સહસ્ત્ર નામાવલીથી બિલીપત્ર ચઢાવવામાં આવશે . શિવરાત્રી મહાપૂજા નો ખુબ મહિમા છે મહાશિવરાત્રીના દિવસે કલ્યાણકારી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપવા અવિકારી રૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રી જે કલ્યાણની રાત્રી ગણવામાં આવે છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ પર્વ શિવજીના શરણે જવા જીવને ધન્ય બનાવે છે, શિવરાત્રીના દિવસે આખો દિવસ તથા રાત્રીના 2.45સુધી વ્યતિપાત યોગ છે તો શિવ પૂજા ઉપાસના માટે ઉત્તમ અને ફળદાયી છે . વ્યતિપાત યોગને શુભ કાર્યો માટે લેવાતો નથી પરંતુ પૂજાપાઠ જ પ તપ માટે ઉત્તમ અને ફળદાયી છે આથી આ દિવસે કરેલી રુદ્રી લઘુરુદ્ર અને શિવ ઉપાસના ઉત્તમ ફળ આપનાર બનશે. રાશિવાર શિવ અભિષેકની વિગત પૂજ્ય સીતારામ બાપુએ જણાવી છે. રાશિવાર અભિષેક કરવો
સરકારી લેબોરેટરીમાં પનીરના 5 નમૂના ફેઈલ:લુઝ પનીર વેચાય છે બનાવટી, દુગ્ધાલયના નમુના સબ સ્ટાન્ડર્ડ
ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાન્યુઆરી થી ડિસેમ્બર 2025 દરમિયાન પનીર લુઝ, કંપની પેક પનીર, મલાઈ પનીર, લો-ફેટ વગેરેના વાઘાવાડી શેડ.રિંગ રીડ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ઘોઘા સર્કલ, ડોન ચોક, 14 નાળા, સરદાનગર વગેરે વિસ્તારમાંથી મળી 10 સેમ્પલ લેવામાં આવેલ છે તથા ટેસ્ટ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ નમૂનાઓ પૈકી જોગીંદરસિંહ ચરણસિંહ સૂદે શેરે પંજાબ ઢાબ ચિત્રા પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો. જે સરકારી લેબોરેટરી દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. નરેન્દ્રસિંહ ચરણસિંહ સુદે, શેરે પંજાબ ઢાબા ચિત્રા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. પંડ્યા અનીલ પ્રેમશંકર પંડયા દુગ્ધાલય આખલોલ જકાતનાકા પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. રવિરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા, સોફ્ટ બી. વાઘાવાડી રોડ પાસેથી પનીર લૂઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ. રઘુભાઇ ગીગાભાઈ માયડ, વૃંદાવન રેસ્ટોરન્ટ, રિંગ રીડ પાસેથી પનીર લુઝનો નમૂનો લેવામાં આવેલ હતો જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે તમામ પેઢી/આસામી પર FSSA-2008 એક્ટ મુજબ નિયમાનુસાર ધોરણોસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા જણાવ્યું છે.
વેધર રિપોર્ટ:શહેરમાં બપોરના સમયે 32 ડિગ્રી તાપમાન સાથે બફારાનો અનુભવ
ભાવનગર આજે બપોરે મહત્તમ તાપમાનનો પારો વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો. તો વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક જળવાઈ રહી હતી, હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી વાતાવરણ સૂકું રહે છે. આજે શહેરમાં બપોરના સમયે સામાન્ય કરતા 2.0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધુ નોંધાયુ હતુ. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે 1.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 32 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 18.5 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા હતુ તે સાંજે 53 ટકા રહ્યું હતુ. લઘુત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ દિશાથી 10 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા, જે વાતાવરણમાં ફેરફાર માટે કારણભૂત હતા. ફેબ્રુઆરીની શરૂઆતથી જ મહત્તમ તાપમાન 30 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ રહ્યું હોવાથી હવે કડકડતી ઠંડીનો અનુભવ થતો નથી.
પરિવહન સુવિધામાં થશે વધારો:કોર્પો.ના સ્થાપના દિને મળશે 50 ઇલે. સિટી બસની સુવિધા
ભાવનગર કોર્પોરેશનની સ્થાપનાના પ્રારંભ બાદ ભાવનગર શહેરમાં 32 સીટી બસ ચાલતી હતી જે સમયાંતરે ઓછી થતા સીટી બસની સેવા સદંતર બંધ થઈ ગઈ હતી. પરંતુ ભાવનગરના 45 મા સ્થાપના દિવસે 14 મી ફેબ્રુઆરીએ શહેરમાં 50 નવી ઈલેક્ટ્રિક બસની સેવા 8 રૂટ પર શરૂ કરાશે. જોકે, નવી ઇલેટ્રીક બસ ઘણા ખખડતા જ રોડ પરથી પસાર થશે તેમાં જ બસના ટકાઉપણાની ખરાઈ થઈ જશે. ભાવનગર શહેરીજનોની લાંબા સમયની આતુરતા બાદ હવે ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં ઈલેક્ટ્રીક બસની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી 14 મી ફેબ્રુઆરી ભાવનગર કોર્પોરેશનના 45 માં સ્થાપના દિને બપોરે 12:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અધેવાડા ખાતે 18.24 કરોડના ખર્ચે તૈયાર કરેલ નવ નિર્મિત ઇલેટ્રીક બસ ડેપો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશન માટે 100 ઈલેક્ટ્રીક બસ ફાળવવામાં આવી છે અને 17 રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે પૈકી પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રીક બસ દ્વારા આઠ રૂટ પર પરિવહન સેવા શરૂ કરવામાં આવશે. શહેરમાં હવે 14મી જાન્યુઆરીથી આ એસી સીટી બસમાં રૂપિયા 5ના ભાડામાં મુસાફરોને પોતાના સ્થળે જવા મળશે. કિલોમીટર મુજબ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. અને ભાડુ રૂા.5 થી વધુમાં વધુ રૂા. 20 રહેશે. આ બસમાં માસિક અને ત્રિમાસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ઉપરાંત પાસ ધારક આખો દિવસ કોઈપણ રૂટ પર અનલિમિટેડ ટ્રીપનો લાભ પણ મળી શકશે. ઓનલાઈન ટિકીટ એપના માધ્યમથી મળશે. સુભાષનગર, ઝાંઝરીયા રોડનો રૂટ બિસ્માર તો શેલારશા સહિતમાં ગીચતાનો પ્રશ્ન નડશેકોર્પોરેશન દ્વારા આગામી 14 મી થી શરૂ થનાર ઇલેક્ટ્રીક બસ આઠ રૂટ પર ચાલશે. જેમાં રૂટ નંબર 4માં સુભાષનગરથી શિવાજી સર્કલનો રોડ, રૂટ નંબર 6 પર સંસ્કાર મંડળથી સરદાર નગર સર્કલ, રૂટ નંબર 9 પર અધેવાડાથી ઝાંઝરીયા રોડથી બુધેલ સુધી રોડ બિસ્માર હાલતમાં છે જેથી મુશ્કેલી પડશે જ્યારે રૂટ નંબર 9માં ઈલેક્ટ્રીક બસ ગીચતા વાળા વિસ્તાર શેલારશા ઢાળ, અલકા ટોકીઝ, ચાવડી ગેટ સહિતના વિસ્તારોમાં પરિવહનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. 50 બસનો 12 વર્ષમાં 350 કરોડ ખર્ચ થશેભાવનગર કોર્પોરેશનને કેન્દ્ર સરકારની પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત 100 બસ ફાળવવામાં આવી છે એ પૈકી 50 બસની સેવા શરૂ કરવામાં આવશે. જે 50 બસનો આગામી 12 વર્ષ માટે 350 કરોડ થવાનો અંદાજ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બસ સંચાલન માટે કેન્દ્ર સરકાર દ્વારા 12 વર્ષ દરમિયાન અંદાજે 103 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર છે. મુસાફરો માટે આ રહેશે ભાડાના દર

31 C