મોરબી વોર્ડ 3 OBC બેઠક પર વિરોધ:આયાતી ઉમેદવારને ટિકિટ આપવા સામે ભાજપને રજૂઆત
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર 'આયાતી' ઉમેદવારને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓએ શહેર, જિલ્લા અને પ્રદેશ ભાજપ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. કાર્યકર્તાઓની મુખ્ય માંગ છે કે OBC અનામત બેઠક પર સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ આપવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે, તો પક્ષને ચૂંટણીમાં નુકસાન થશે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ માટે વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા ત્રણ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 52 બેઠકો માટે 427 જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. વોર્ડ નંબર 3 માં OBC અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી છે. જોકે, આ બેઠક પર બહારના ઉમેદવારને મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નારાજગીના પગલે, વોર્ડ નંબર 3 ના ભાજપ કાર્યકર્તાઓએ ફરીથી મોરબી શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો બહારના કોઈ આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે અને પક્ષને વોર્ડમાં નુકસાન થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી CCE પરીક્ષા પદ્ધતિ સામે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ એકઠા થઈ વર્તમાન ઓનલાઇન પરીક્ષા પદ્ધતિનો વિરોધ કર્યો હતો. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હાલમાં CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવાતી ઓનલાઇન પરીક્ષામાં ઘણી વિસંગતતાઓ છે. આ પદ્ધતિ સામે વિરોધ નોંધાવી, તેમણે ઓફલાઇન પરીક્ષા લેવાની માંગ કરી હતી. ઉમેદવારોએ અગાઉની પરીક્ષાઓમાં ખાનગી એજન્સીઓ દ્વારા પૂછવામાં આવેલા ખોટા પ્રશ્નો અને ટેકનિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોએ સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે.
સુરતના રાંદેર વિસ્તારમાં સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રામા રેસિડેન્સી પાસે યશ નામના યુવક સાથે મોપેડ પર પસાર થતા શખ્સ સામે જોવા બાબતે તકરાર થઈ હતી. જેનો બદલો લેવા હુમલાખોર પોતાના 5થી 6 સાગરીત સાથે ચપ્પુ અને લાકડાના ફટકા જેવા હથિયારો લઈને ત્રાટક્યો હતો. ત્યારે જાહેર રોડ પર બે જૂથ વચ્ચે ધીંગાણુ જોવા મળ્યું હતું. બંન્ને જૂથે એક મનિટિ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને ફોઈનો દીકરો સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો, પણ થોડી જ વારમાં તે પોતાના સાગરીતો સાથે મોપેડ પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડા સમય બાદ, હુમલાખોર અન્ય 5 શખ્સને બે મોપેડ પર લઈને ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ફટકા અને બેલ્ટ સહિતની વસ્તુઓ હતી. તેમણે આવતાની સાથે જ સમર્થ પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી દીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બન્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ પર આવેલા શખ્સો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ એક મિનિટ સુધી રોડ પર આ ખૂની ખેલ ખેલાયો હતો. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાય છે. જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે 'સામે કેમ જુઓ છે' તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને, હથિયારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. રાંદેર પોલીસે બે આરોપીને દબોચ્યાઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ ત્રણ શખસ ઉગત કેનાલ રોડ પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (ઉંમર 19) અને સાહીલ પવાર ( ઉંમર 18)ની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. વોન્ટેડ આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટપોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ કરી જેમાં અન્ય સાગરીતોના નામ પણ ખુલ્યા છે. હાલ આ કેસમાં ફેનીલ પટેલ, રાજ સીંઘે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો આ વોન્ટેડ શખ્સોને પકડવા માટે સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા:બી ડિવિઝન પોલીસે ₹11,200 રોકડ જપ્ત કરી
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દેશળ ભગતની વાવ પાછળ આવેલા ઝૂંપડા પાસે દરોડો પાડી આ ઈસમોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા 11,200 સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજીની સ્ટ્રાઈકિંગ ફોર્સે સુત્રાપાડા તાલુકાના લાટી ગામ અને આહિર નાથણી વાડી વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹98,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બે બુટલેગરની ધરપકડ કરાઈ છે અને અન્ય બે ફરાર થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટ્રાઈકિંગ ફોર્સના રામદેવસિંહ જાડેજા, પ્રવીણ મોરી, રાહુલ છેલાણા, કનકસિંહ કાગડા સહિતનો સ્ટાફ સુત્રાપાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સુત્રાપાડાના લાટી ગામે વાછરા દાદા વાડી વિસ્તારમાં ચાલુ હાલતમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હતી. સ્થળ પરથી 140 લિટર દેશી દારૂ, 1900 લિટર આથો તથા દારૂ બનાવવાના સાધનો સહિત અંદાજે ₹78,960નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં વિશાલ વીરાભાઈ સોલંકીને ઝડપી લેવાયો હતો, જ્યારે કાનાભાઈ કરશનભાઈ સોલંકી ફરાર થયો છે. આ ઉપરાંત, સુત્રાપાડાના આહિર નાથણી વાડી વિસ્તારમાં પણ પોલીસે દરોડો પાડી દેશી દારૂ અને આથાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અકરમ ભીખુભાઈ મલેકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રમેશ રાજા બારડ ફરાર થયો છે. અહીંથી કુલ અંદાજે ₹19,490નો મુદ્દામાલ જપ્ત થયો છે. બંને બનાવો અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળનાર રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રાઈકિંગ ફોર્સ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવા દૂષણો સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસની આ સતત કાર્યવાહીથી બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ભરૂચના જુના તવરા ગામે દીપડો CCTVમાં કેદ:ફાર્મની દિવાલ કૂદતો વીડિયો વાઈરલ, લોકોમાં ભય
ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં દીપડાની હલચલ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગતરોજ સાંજે જુના તવરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દીપડો ફાર્મની દિવાલ કૂદતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં દીપડો નિર્ભયપણે ખેતર વિસ્તારમાં ફરતો સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટનાને પગલે ગામલોકો અને ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે, જેનાથી માનવીય સુરક્ષા અંગે ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવા અને દીપડાને પકડવા માટે પીંજરા ગોઠવવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
પાટણ પોલીસ બેડામાં મોટો ફેરબદલ:22 PSIની આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હાજર થવા સૂચના
પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે વહીવટી સુધારાના ભાગરૂપે 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને બિન હથિયારી PSIની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા સૂચના અપાઈ છે. સત્તાવાર હુકમ મુજબ, કુલ 7 બિન હથિયારી PSI અને 15 હથિયારી/બિન હથિયારી PSI સહિત 22 અધિકારીઓની બદલી થઈ છે. આ બદલીઓમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અને લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. લીવ રિઝર્વમાં રહેલા 9 PSIને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. બદલી કરાયેલા અધિકારીઓમાં જે.આર. ચૌધરીને સરસ્વતી પોલીસ સ્ટેશન, એમ.કે. ઝાલાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન અને આર.ડી. ચૌહાણને IUCAW શાખામાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, એ.બી. મહેરિયાને હારીજ અને આર.બી. વાઘીયાને રાધનપુર ખાતે નિમણૂક અપાઈ છે. અન્ય ફેરફારોમાં, કાકોશી પોલીસ સ્ટેશનના પી.વી. ચૌધરીની બદલી LCB શાખામાં કરવામાં આવી છે, જ્યારે સિદ્ધપુરના જે.ટી. ગઢવીને રણુંજ ખાતે મુકાયા છે. પાટણ સીટી બી-ડિવિઝનમાં ફરજ બજાવતા એચ.આર. ગાડીયાની બદલી બાલીસણા ખાતે કરવામાં આવી છે. મહિલા સુરક્ષા અને વહીવટી પાસાઓને ધ્યાનમાં રાખીને, એ.ડી. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશન અને પી.વી. વસાવાને શંખેશ્વર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. હુકમમાં જણાવાયું છે કે, તમામ બદલી થયેલા અધિકારીઓએ પોતાની વર્તમાન ફરજ પરથી છૂટા થઈ તાત્કાલિક નવા નિમણૂક સ્થળે હાજર થઈ જિલ્લા પોલીસ કચેરીને જાણ કરવી પડશે. સાયબર પોલીસ સ્ટેશનના એચ.ડી. મકવાણાને પાટણ સીટી બી-ડિવિઝનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં થયેલા આ ફેરફારથી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ મજબૂતી આવશે તેવી અપેક્ષા છે.
વલસાડ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન અને રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. કુલ 36 બેઠકો માટે જાહેર થયેલા આ સીમાંકનથી જિલ્લાના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. વાપી મહાનગરપાલિકા જાહેર થયા બાદ ભૌગોલિક સમીકરણો બદલાયા છે, જેની અસર આ વખતની બેઠકો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. નવા રોટેશન મુજબ, 50 ટકા મહિલા અનામત અને જાતિગત સમીકરણોને કારણે ઘણા દિગ્ગજ નેતાઓની બેઠકો પ્રભાવિત થઈ શકે છે. જે બેઠકો પર વર્ષોથી પીઢ નેતાઓનું પ્રભુત્વ હતું, ત્યાં મહિલા અનામત આવતા તેમને પોતાના પરિવારની મહિલા સભ્યો અથવા નવા ચહેરાઓને તક આપવી પડી શકે છે. નવા સીમાંકનના પગલે રાજકીય કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર ટિકિટ વાંચ્છુકોનો ધસારો નોંધાઈ રહ્યો છે. ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે જાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નોની જાણકારી ધરાવતા યુવાનોને તક આપી શકે છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પરિવર્તનના નામે નવા અને શિક્ષિત ચહેરાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડી રહ્યા છે. વલસાડ જિલ્લો પરંપરાગત રીતે ભાજપનો ગઢ મનાય છે, પરંતુ બદલાયેલા સીમાંકનથી રાજકીય સમીકરણો વધુ જટિલ બન્યા છે. સૂત્રોના મતે, તમામ પક્ષોના હાઈકમાન્ડ ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક લોકપ્રિયતા, જાતિગત ગણિત અને યુવા નેતૃત્વ જેવા પરિબળોને પ્રાધાન્ય આપશે. જાહેર થયેલા સીમાંકન મુજબ, વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 24 બેઠકો અનુસૂચિત આદિજાતિ (ST) માટે અનામત છે, જેમાં 12 મહિલા બેઠકોનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક (મહિલા), સામાજિક-શૈક્ષણિક પછાત (SEBC) માટે 4 બેઠકો (2 મહિલા સહિત) અને સામાન્ય વર્ગ માટે 7 બેઠકો (3 મહિલા સહિત) અનામત રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 36 પૈકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ અંગે પ્રાથમિક અટકળો તેજ બની છે. મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ આગામી સમયમાં પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે.
અમરેલીમાં 10 નવા PIને ચાર્જ સોંપાયા:SP સંજય ખરાતે મોડીરાત્રે આદેશ જારી કર્યો
અમરેલી જિલ્લામાં મોડી રાત્રે SP સંજય ખરાતે 10 નવા નિયુક્ત PI ને વિવિધ પોલીસ સ્ટેશનોનો ચાર્જ સોંપ્યો છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીઓ બાદ ખાલી પડેલા પોલીસ સ્ટેશનોમાં આ નિમણૂકો કરવામાં આવી છે. આદેશ અનુસાર, PI બી.જી. ઈશરાણીને SOG શાખા, PI એમ.એમ. ઝાલાને અમરેલી શહેર, PI વી.કે. ગોલવેલકરને બગસરા, PI એમ.બી. ઓસુરાને લાઠી, PI વી.પી. ગોલને AHTU, PI આર.આર. પરમારને બાબરા, PI કે.બી. સોલંકીને સાવરકુંડલા ટાઉન, PI વી.કે. રાઠોડને પીપાવાવ મરીન, PI એન.જી. જાડેજાને દામનગર અને PI જે.આર. ભાચકનને મહિલા યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ વહીવટી ફેરફારમાં પીએસઆઈ એ.એમ. રાધાનપરાને દામનગર મુકવામાં આવ્યા છે. આ ફેરબદલીઓ વહીવટી સરળતા માટે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા માટે આ ચાર્જ સોંપવામાં આવ્યા છે.
વલસાડમાં ભાજપનો નવો પ્રયોગ: યુવા સંભાળશે બૂથ:કોંગ્રેસ પ્રભુત્વવાળા 329 મતદાનમથક પર પકડ મજબૂત કરાશે
વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. 'યુથ સંભાળશે બૂથ' અભિયાન અંતર્ગત જિલ્લા યુવા ભાજપના કાર્યકરો કોંગ્રેસ પ્રભુત્વવાળા મતદાન મથકો પર પક્ષની પકડ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે. જિલ્લામાં કુલ 329 એવા મતદાન મથકો છે જે પરંપરાગત રીતે કોંગ્રેસ પ્રેરિત અથવા કોંગ્રેસના પ્રભુત્વવાળા ગણાય છે. આ મથકો પર ભાજપનો પક્ષ નબળો હોવાથી તેને 'C' અને 'D' કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ નબળા બૂથોને 'પ્લસ' કરવા માટે યુવા ભાજપના કાર્યકરોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો આ પ્રકારનો પ્રથમ પ્રયોગ કરનાર જિલ્લો બન્યો છે, જ્યાં યુવા કાર્યકરો સીધા જ વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જઈને કમાન્ડ સંભાળશે. આ અભિયાન હેઠળ, યુવા કાર્યકરો આ 329 મથકો પર મતદારો સાથે સીધો સંવાદ કરશે. તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરે-ઘરે પહોંચાડશે અને કોંગ્રેસ તરફી ઝુકાવ ધરાવતા મતદારોને ભાજપ તરફ વાળવા સઘન પ્રયાસો કરશે. વલસાડ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ કેવિન પટેલે જણાવ્યું હતું કે, ગયા વખતની ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ અમને જણાયું કે અમુક બૂથો પર ભાજપ પાછળ રહે છે. આ 'C' અને 'D' કેટેગરીના બૂથો પર યુવા મોરચાના કાર્યકરો પ્રવાસ કરશે અને ત્યાં પક્ષને મજબૂત બનાવશે. ભાજપના આ માસ્ટર પ્લાન મુજબ, દરેક કાર્યકરને 3 થી 4 બૂથની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યકરો જે-તે વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધર્મગુરુઓ સાથે મુલાકાત કરશે, સ્થાનિક પ્રશ્નો સમજશે અને સરકારની યોજનાઓનો પ્રચાર કરશે. આ વ્યૂહરચના દ્વારા ભાજપ આગામી ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં એકતરફી જીત મેળવવાની આશા રાખી રહ્યું છે.
સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર:ગાબટ રસ્તા પર વાંઘા પર પુલ નહીં તો વોટ નહીંનું એલાન
સાઠંબા તાલુકાના બાદરપુરા ગામના રહીશોએ ગાબટ જવાના રસ્તે આવેલા 'વાંઘા' પર પુલ બનાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. ગ્રામજનોએ પુલ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. બાદરપુરા સહિત આસપાસના આઠથી દસ ગામોના લોકોની અવરજવર બાદરપુરા ગામે આવેલા આ 'વાંઘા' પરથી થાય છે. આ પંથકના લોકોને પોતાના કામકાજ અર્થે, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા, ખેડૂતોને ખેતીકામ માટે, તેમજ બીમાર દર્દીઓ સહિત તમામ ગ્રામજનોને દૈનિક ધોરણે ગાબટ જવું પડે છે. ચોમાસા દરમિયાન આ 'વાંઘુ' પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે દસથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. આ પરિસ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક અગ્રણીઓએ આ અંગે અનેક વખત તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની વાતને ધ્યાને લેવામાં આવી નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ગ્રામજનોએ બાદરપુરા ગામે આવેલા 'વાંઘા'માં ઊભા રહી સૂત્રોચ્ચાર કરીને પુલની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ગોલ્ડન ચોકડી જંક્શન પર વરસાદી ગટરની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મશીનરીની હેરફેર અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 એપ્રિલ, 2026થી આગામી 15થી 20 દિવસ સુધી અથવા તો કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોલ્ડન જંકશન પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જંકશન પરથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને ટ્રાફિકજામની સમસ્યા નિવારી શકાય. હાઇવે ઉપર મહત્તમ જંક્શન ઉપર કામગીરી પૂર્ણવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મહત્વના જંક્શનો જેવા કે ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી ખાતે વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ કલ્વર્ટ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે મેસર્સ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પાલિકા દ્વારા વાઘોડિયા, કપુરાઈ અને તરસાલી જંકશન પર આ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે બાકી રહેલા ગોલ્ડન જંકશન પર આ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વરસાદી પાણી ભરવાની જૂની સમસ્યામાંથી છુટકારો મળશેચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આ બોક્સ કલ્વર્ટની કામગીરી જરૂરી છે. ગોલ્ડન જંકશન એ હાઈવે અને શહેરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહનોનું ભારણ વધુ રહે છે, પરિણામે પાલિકાએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી દ્વારા સતત મજૂરો અને ટેકનિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જૂની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના વિવિધ નાકાઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એસીપી આર.ડી. કવા, પીઆઈ જી.ડી. રાજપૂત તથા પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યવાહી કરી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા કાર, બાઈક સહિત અન્ય વાહનોને રોકી તેમની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી રોકવા માટે પણ પોલીસ સજ્જ બની ગઈ છે. ACP આર ડી કવાએ જણાવ્યું હતું કે, આગામી કોર્પોરેશન તેમજ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તરફથી સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેને લઈને બી-ડિવિઝન'વિસ્તારમાં આ કામગીરી મુખ્યત્વે ત્રણ સ્થળોએ કરવામાં આવી હતી. જેમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોયલી ચેકપોસ્ટ પાસે, ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન નીચે મુજબના કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન એક ઇસમ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો, જેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કચ્છના પાટનગર ભુજની આરટીઓ કચેરી માટે ગત નાણાકીય વર્ષ આવકની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી રહ્યું છે. કચેરીને નવા વાહનોની નોંધણી પેટે 174.61 કરોડ, લાઇસન્સની ફી પેટે 4.15 કરોડ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં 4.58 કરોડ મળી કુલ વાર્ષિક આવક 183.34 કરોડને પાર કરી ગઈ છે. નવા વાહનોની નોંધણી અને ડ્રાઇવિંગ લાયસન્સની ફી પેટે મળતી આવકમાં ગત વર્ષની તુલનાએ વધારો નોંધાયો છે, જે કચ્છમાં વધતી જતી વાહનોની સંખ્યા અને આર્થિક સમૃદ્ધિનો પુરાવો આપે છે. ભુજ આરટીઓ અધિકારી પાર્થ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26માં માત્ર વાહનોની નોંધણી અને લાયસન્સ ફી દ્વારા કુલ 1,78,76,50,106 ની આવક થઈ છે. જે ગત વર્ષ 2024-25ની 1,76,13,03,943 ની આવકની સરખામણીએ નોંધપાત્ર વધારો સૂચવે છે. આ સિવાય નિયમ ભંગ કરનારા વાહનચાલકો પાસેથી નાણાંકીય વર્ષ 2025-26માં 4.58 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. પસંદગીના નંબર સહિતની આવક અલગ છે. ખાસ કરીને લાયસન્સ પેટે થતી આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 3.22 કરોડથી વધીને 4.15 કરોડ સુધી પહોંચી છે. નાણાંકીય વર્ષ 2025-26 દરમ્યાન 29,982 નવા મોપેડ, 10,388 નવી કાર સહિત કુલ 46,051 વાહનો નોંધાયા છે. આંકડા દર્શાવે છે કે, કચ્છમાં દ્વિચક્રી વાહનો બાદ લક્ઝરી અને પેસેન્જર કારનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓને મોટાભાગે નવા વાહનોના ટેકસની આવક હોય છે એ સિવાય વાહનો ડિટેઇન કરવામાં આવે તેનો દંડ, ઇ- ચલણ, લાયસન્સ અને વાહન સંબધિત કામગીરી, ઓવરલોડ સહિતના પેટે દંડ વસૂલવામાં આવે છે. આરટીઓ વિભાગની મોટાભાગની સેવાઓ હવે ઓનલાઇન થઈ ચૂકી છે. કેટેગરી વાઈઝ વાહનોની વિગત 7 વર્ષમાં 1740 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવાયાછેલ્લા 7 વર્ષમાં ભુજ આરટીઓ કચેરીએ 1740 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે જેમાં વર્ષ 2019-20માં 260.22 કરોડ, 2020-21માં 212.83 કરોડ, 2021-22માં 279 કરોડ, 2022-23માં 369 કરોડની આવક થઈ હતી. કોરોના બાદ આ વર્ષમાં કામગીરીએ વેગ પકડ્યો હતો. જોકે વર્ષ 23-24માં 4 મહિના પછી બાદ ભુજ અને અંજાર આરટીઓ બે અલગ અલગ કચેરી થતા 2023-24માં 254.43 કરોડ, 2024-25માં 186.53 કરોડ અને 2025-26માં 183 કરોડથી વધારે આવક થઈ છે. 27 હજાર લોકોએ લર્નિંગ અને 13 હજાર અરજદારોએ પાકા લાયસન્સ મેળવ્યાપશ્ચિમ કચ્છમાં માત્ર વાહનો જ નહીં, પરંતુ લાયસન્સ કઢાવવામાં પણ લોકો જાગૃત બન્યા છે. વર્ષ દરમિયાન કુલ 27,132 નવા લર્નિંગ લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે.જ્યારે 13,034 અરજદારોએ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સની ફી પેટે વર્ષમાં 41,500,000ની આવક થઈ છે જ્યારે ગત વર્ષ 2024-25માં કુલ 32,200,000ની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત રાજ્યની આરટીઓમાં હવે એઆઇ આધારીત પરીક્ષા લેવામાં આવશે.
ભાસ્કર એનાલીસીસ:ભુજ સ્ટેટ જીએસટી કચેરીનું 2025-26માં રૂ.1207.26 કરોડનું કલેક્શન
ભુજ સ્થિત સ્ટેટ જીએસટી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય આવકમાં પોતાનું યોગદાન આપતાં કુલ રૂ.1207.26 કરોડની જીએસટી આવક નોંધાવી છે. વર્ષ 2025-26 માં ભુજ કચેરીની આવકમાં ગત વર્ષની સરખામણીએ 8.86 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે સ્થાનિક કક્ષાએ વેપાર તેમજ ઉદ્યોગ પ્રવૃત્તિઓની સકારાત્મક ગતિ દર્શાવે છે. ગત વર્ષ 2024-25 માં કચેરી દ્વારા સરકારને રૂ.1108.96 કરોડ જેટલી આવક થઈ હતી, જ્યારે વર્ષ 2023-24 માં એ આવક રૂ.1037.07 કરોડની રહી હતી. કચેરી હેઠળ નોંધાયેલા વિવિધ કોમોડિટીના આયર્ન એન્ડ સ્ટીલ, સીમેન્ટ, કન્ટેનર હેન્ડલિંગ સર્વિસિસ, મિનરલ્સ તથા વર્ક્સ કોન્ટ્રાક્ટર જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા વેપારીઓ પાસેથી જીએસટી કલેક્શન થતું હોય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કચ્છ જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખનિજ અને ઔદ્યોગિક સેવાઓ આધારિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ જીએસટી આવકના મુખ્ય આધાર બનીને ઉભર્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લાના કુલ સ્ટેટ જીએસટી આવકમાં ભુજ કચેરીનો અંદાજે 30 ટકા જેટલો ફાળો છે. જે ભુજ જીએસટી કમિશ્નરેટના આંકડાઓ પર સ્થાનિક અર્થવ્યવસ્થાની દિશા સકારાત્મક તરફ જતી દર્શે છે.ખાસ કરીને ચાલુ વર્ષમાં 2026ના માત્ર માર્ચ મહિનામાં જ રૂ.92.23 કરોડની સ્ટેટ ઇન્કમ નોંધાતા નાણાકીય વર્ષના અંતે આવકના આંકમાં વધારો થયો હતો. વેપારીઓ તથા કરદાતાઓનો ગાંધીધામનો ધક્કો ટળ્યો, ભુજ કમિશ્નરેટમાં નવી સુવિધાભુજ સ્ટેટ જીએસટી કમિશ્નરેટ હેઠળ ભુજ, માંડવી, મુંદ્રા, અબડાસા તેમજ લખપત તાલુકાઓનો સમાવેશ કરાયો છે. થોડા સમય પહેલા જ વેપારીઓ તથા કરદાતાઓ માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બને અને તેઓને ગાંધીધામનો ધક્કો બચે તે માટે ભુજમાં જ દર મંગળવાર અને ગુરુવારે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખોલાયું છે. રાજ્યને 2025-26માં 81,410 કરોડની આવક થઈરાજ્યને નાણાકીય વર્ષ 2025-26 માં જીએસટી હેઠળ રૂ. 81,410 કરોડ આવક થયેલ છે જે ગત વર્ષની આવક કરતા 11.1% વધુ છે. ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8.4% છે.
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ:3.5 વર્ષનો બાળક ક્યુબિંગ સ્પર્ધામાં રાષ્ટ્ર સ્તરે અવ્વલ
નાની ઉંમરે અદભૂત પ્રતિભા અને શિસ્તનો પરિચય આપતો 3.5 વર્ષનો ત્રિશિવ જિનલ નિરજ વોરા સ્પીડ ક્યુબિંગની દુનિયામાં ઝડપથી ઊભરતો યુવા પ્રોડિજી બની રહ્યો છે. માત્ર 2 વર્ષ અને 10 મહિનાની ઉંમરે ક્યુબિંગ શરૂ કરનાર ત્રિશિવે ટૂંકા ગાળામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જે સતત પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ છે. હાલ 3 વર્ષ અને 6 મહિનાના આ બાળકે વિવિધ સ્પર્ધાઓમાં 5 પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને 2 મેડલ્સ જીત્યા છે. શરૂઆતમાં 4 મિનિટમાં ક્યુબ સોલ્વ કરનાર ત્રિશિવે RSAI નેશનલ ક્યુબ ચેલેન્જ 2026માં 3x3 ક્યુબ માત્ર 2.24 મિનિટમાં પૂર્ણ કરીને પોતાની પ્રગતિ સાબિત કરી છે. 2x2, 3x3, પાયરામિંક્સ અને સ્ક્યુબ જેવી વિવિધ કેટેગરીમાં તેનું પ્રદર્શન બહુમુખીતા દર્શાવે છે. ક્યુબિંગ ઉપરાંત ત્રિશિવ ગણિતમાં પણ મજબૂત પાયો બનાવી રહ્યો છે. સંખ્યાઓની ઓળખ અને મૂળભૂત ગણિતીય સમજ જેવી ક્ષમતાઓ વિકસાવી રહ્યો છે, જે તેના બુદ્ધિ વિકાસમાં મદદરૂપ છે. નિષ્ણાતો માને છે કે આવી પ્રવૃત્તિઓ બાળકમાં વિશ્લેષણ ક્ષમતા અને નિર્ણય શક્તિ વધારે છે. દરરોજ શાળાના બાદ 60 મિનિટની નિયમિત પ્રેક્ટિસ ત્રિશિવની સફળતાનો મુખ્ય આધાર છે. માતા-પિતાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી તે સતત આગળ વધી રહ્યો છે. તેની સિદ્ધિઓ જાન્યુઆરી 2026માં તેની શાળાના ન્યૂઝલેટરમાં પણ સ્થાન પામી છે.
માધાપરમાં ‘હિન્દુ સંમેલન’:સંગઠિત સમાજ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે માધાપર જુનાવાસના ગાયત્રી ચોક ખાતે ‘ગાયત્રી વસ્તી’ દ્વારા વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક સમરસતા, સંસ્કાર અને રાષ્ટ્રચેતનાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આશીર્વચન પાઠવતા આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજના સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા અને ક્ષમતા જ વર્તમાન સમયનો મહાન યુગધર્મ છે. સંગઠિત હિન્દુ સમાજ જ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. માધાપરના કથા વક્તા શાસ્ત્રી ભાવેશભાઈ જોષીએ રાષ્ટ્રભક્તિ અને શાસ્ત્રોક્ત જીવનશૈલી સાથે આધુનિક સમયની માંગ મુદ્દે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. વિશેષ વક્તા તરીકે સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્રના સંયોજિકા માધવીબેન શાહએ નારી શક્તિ અને મહિલાઓની ભૂમિકા મુદ્દે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી-સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજાએ હિન્દુ સંસ્કૃતિ અને સ્વાભિમાન પર વિશેષ ભાર મૂક્યો હતો. સંમેલનનું મુખ્ય આકર્ષણ શિશુઓ અને દીકરીઓ દ્વારા રજૂ કરાયેલું શૌર્ય પ્રદર્શન હતું. બાળકો અને યુવતીઓએ તલવારબાજી અને લાઠીદાવના કરતબો બતાવ્યા હતા. આ સંમેલનમાં માધાપરના વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ ગાયત્રી વસ્તીમાં સમાવિષ્ટ સોસાયટીઓના 700 ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ગાયત્રી વસ્તી હિન્દૂ સંમેલન સમિતિ માધાપરના અધ્યક્ષ દીપક ડાંગર અને અમિત ગઢવીના માર્ગદર્શનમાં આયોજન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં, જનમેદનીએ સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સંચાલન ડો. કિશાન આર્ય અને આભારવિધિ દિનેશ ગજ્જરે કરી હતી.
ચૂંટણીને લઈને તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા:કચ્છમાં ચૂંટણીને પગલે વિવિધ આદેશ જારી કરાયા
કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તા. 26/4ના મતદાન યોજાશે. ચૂંટણીની કામગીરી તા.1/4થી તા.30/4 સુધી ચાલશે. કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે તંત્ર દ્વારા જરૂરી જાહેરનામા બહાર પાડવામા આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો પ્રવેશવાની અને કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે. કોઈ કારણસર દરખાસ્ત મુકનારા બીજા મતદારોને પણ કચેરીમા દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશે એમ વારાફરતી મતદારો દાખલ થઈ શકશે. આચારસંહિતાના અમલ માટે આદેશલાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણોચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી નહીં શકાયા. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના 10થી સવારના 8 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી લેવાની રહેશે. કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયતચૂંટણી માટે નિમવામાં આવેલા મેજિસ્ટેરીયલ પાવર્સ જ ધરાવતા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીઓને જે વિસ્તાર માટે નિમણુંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની નિમણુંક કરવામાં આવશે. 200 મીટર ત્રિજ્યામાં બૂથ ઉભા કરી શકાશે નહીંમતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. મતગણતરી મથક પાસે ચારથી વધુ વ્યક્તિને મનાઇમતગણતરીના દિવસ તા. 28/4ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલા વિસ્તારની અંદર કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહી. તેમજ મતગણતરી મથકની 100 મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ એકઠી થઇ શકશે નહીં. ખાનગી કે જાહેર મિલ્કતના ઉપયોગ પર પ્રતિબંધૉકોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત કે જાહેર ઈમારત પર મુકી શકશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલા હોય તેવા કિસ્સામાં રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા સુનિશ્ચિત કરવાનું રહેશે. સભા સરઘસની પરવાનગી લેવાની રહેશેચૂંટણીને લઇને તા. 19/4 સુધી સમગ્ર કચ્છમાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવાઇ છે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને, કોઈ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો પ્રથમ દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો હતો. તા. 6 એપ્રિલ 2026ના સોમવારે મહાનગરપાલિકા, 5નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત સ્તરે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ થયું હતું, જેમાં રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ પ્રકાશિત થયેલી વિગત મુજબ ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 208 ફોર્મનું વિતરણ થયું હતું. નગરપાલિકા સ્તરે ભુજમાં 33, અંજારમાં 44, માંડવીમાં 80, મુન્દ્રા-બારોઇમાં 61 અને નખત્રાણામાં 6 ફોર્મ વિતરણ થયા હતા. આ રીતે નગરપાલિકા સ્તરે કુલ 224 ફોર્મનું વિતરણ નોંધાયું હતું. જિલ્લા પંચાયત માટે 35 ફોર્મ આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત સ્તરે ભુજમાં 9, માંડવીમાં 4, મુન્દ્રામાં 2, અબડાસામાં 5, નખત્રાણામાં 11, અંજારમાં 29, ભચાઉમાં 1 અને રાપરમાં 26 ફોર્મ વિતરણ થયા હતા. લખપત તાલુકામાં એક પણ ફોર્મ વિતરિત થયું નથી. આમ તાલુકા પંચાયત સ્તરે કુલ 87 ફોર્મનું વિતરણ થયું હતું. આંકડાકીય રીતે જોવામાં આવે તો પ્રથમ દિવસે કુલ 554 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જોકે નોંધનીય બાબત એ છે કે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારે ફોર્મ ભરીને જમા કરાવ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પક્ષો હજુ ઉમેદવારોની પસંદગી અને યાદી બનાવવામાં વ્યસ્ત છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં તેજી આવશે અને ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. તારીખ 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.
કડક કાર્યવાહી:ટેક્ષ શાખાના પાંચ કર્મીઓને ગેરહાજરી બાબતે નોટિસ, એકને સસ્પેન્ડ કરવાની પણ તજવીજ
ભુજ નગરપાલિકાની ટેક્સ શાખામાં તાજેતરમાં થયેલી કારણદર્શક નોટિસની કાર્યવાહી બાદ કરાર આધારિત ડમી કર્મચારીઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ દ્વારા પાંચ કર્મચારીઓને વોર્નિંગ નોટિસ બજાવવામાં આવી છે, જ્યારે એક કર્મચારીને છૂટા કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પગલાં પાછળ ટેક્સ વસૂલાતમાં ઘટાડો અને શિસ્તભંગના મુદ્દાઓ મુખ્ય કારણ હોવાનું જાણવા મળે છે. સુધરાઇના અંતરંગ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ, 2 એપ્રિલે સાંજે 5:30 વાગ્યે ટેક્સ શાખાના કર્મચારીઓની એક બેઠક મુખ્ય અધિકારીની ચેમ્બરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષની કરવેરા વસૂલાત સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2025-26 દરમિયાન ટેક્સ વસૂલાતમાં આશરે ત્રણ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 18.58 કરોડની વસૂલાત થઈ હતી, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો 22 કરોડ સુધી પહોંચ્યો હતો. વસૂલાતમાં આવેલા આ ઘટાડાને કારણે ઉચ્ચ સ્તરે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, કેટલીક કર્મચારીઓની કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને શિસ્ત અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. સમયસર હાજરી ન આપવી અને શાખાની બેઠકમાં ગેરહાજર રહેવા બદલ રાજેશ વાઘેલા, અક્ષય વ્યાસ, ધર્મેન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા અને મયુર સોલંકીને વોર્નિંગ નોટિસ આપી બે દિવસમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેમજ મકબુલ કુંભારને છૂટા કેમ ન કરવામાં આવે તે અંગે ખુલાસો આપવા સૂચના અપાઈ છે. સુધરાઇમાં કારોબારીમાં ઠરાવ પસાર કરીને વિવિધ શાખામાં કરાર આધારિત કર્મચારીઓ ભરતી કરાય છે, તો જરૂરી જણાય તો આરસીએમ થી પણ ઓર્ડર કરાય છે. તેમાં પણ ખાસ કરીને નગરપાલિકાની ટેક્સ અને સેનિટેશન શાખામાં અંદાજે 35થી વધુ કરાર આધારિત કર્મચારીઓ માત્ર હાજરી નોંધાવવા માટે જ આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જો આ આક્ષેપો સત્ય સાબિત થાય તો સખત હાથે નિર્ણય લઈને અનાવશ્યક કર્મચારીઓને દૂર કરી ખરેખર કામ કરવા ઇચ્છુક લોકોને તક આપવાની માંગ ઉઠી રહી છે. નોટીસ બાદ કર્મચારીઓ કારણ આપી જતા માત્ર દેખાવની કામગીરી બનીમુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જેમને વોર્નિંગ નોટિસ આપી તેમણે કારણ આપી દીધું છે, રૂબરૂ મળી ગયા છે. જોકે, શું કારણ આપ્યું એ કહેવાનું ટાળ્યું હતું. છૂટા કરવા માટેના આદેશ બાબતે જણાવ્યું કે, તેમના કોઈ નજીકના સગાનું અકસ્માત થતા હાજર નહોતા રહી શક્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગના જાણે છે કે, ડમી કર્મચારીઓની ભરતી માત્ર આર્થિક ગેરરીતિ માટે જ કરવામાં આવે છે. પણ ભુજથી રાજકોટ સુધી ઢાંક પીછોડો કરવામાં આવે છે.
ચોર ઝડપાયા:ચુબડકના વાડી વિસ્તારમાં હાથફેરો કરનાર 2 ઇસમ પકડાયા
તાલુકાના ચુબડક ગામની સીમમાં આવેલ વાડી પરથી નાની ચુબડક અને નાની રેલડીના આરોપીએ રૂપિયા 72 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો જેને સ્થાનિક પોલીસે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રતનાલ ગામના ફરિયાદી ત્રિકમભાઈ બીજલભાઈ વરચંદે પદ્ધર પોલીસ મથકે આરોપી સદામ ઈસ્માઈલ પારા અને હાજી સુલેમાન કકલ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીની ચુબડક સીમમાં આવેલી વાડી પર પાણીની મોટર ચરખીથી બહાર કાઢેલી હતી. મોટર રીપેરીંગ માટે આપેલી હતી એ દરમિયાન 2 એપ્રિલના રાત્રી દરમિયાન બન્ને આરોપીઓએ ચરખી પરથી સ્ટાટર અને કેબલ સહીતનો મુદ્દામાલ ચોરી કરેલો હતો.બીજા દિવસે ફરિયાદી વાડી પર આવ્યા ત્યારે ચોરી થયેલી હોવાનું જણવા મળ્યું હતું. જોકે ફરિયાદી આસપાસ તપાસ કરતા હતા ત્યારે પદ્ધર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બન્ને આરોપી ચોરાઉ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સ્થાનિકે તપાસ કરતા આરોપીઓ પોલીસને હાથ લાગતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભુજ વોર્ડ નં. 1:વોર્ડ નં. 1માં કામ ઓછા, વાયદા ઝાઝા જેવો તાલ
વોર્ડ નંબર 1માં ચારેય નગર સેવકો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા છે. આ વોર્ડમાં આવતા વિસ્તારોની વરસાદી પાણીનો નિકાલ, ગટરના પાણી, પીવાના પાણીની અનિયમિતતા, માર્ગની અધુરાશ સહિતના પ્રશ્નોમાં વાયદા અનેક થયા પરંતુ ઉકેલ ન આવ્યાનો અસંતોષ જોવા મળે છે. ખાસ કરીને વોર્ડ નંબર એકમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ યોજના લાંબા સમયથી અધૂરી રહેતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આશરે 10 હજાર લોકોને સીધો લાભ આપનારી આ યોજના માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છતાં છેલ્લા 18 મહિનાથી કામ શરૂ થયું નથી. નગરસેવિકા આઈશુબેન સમાના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટરને રાજકીય ઓથ મળતી હોવાને કારણે કોઈ કાર્યવાહી થતી નથી. અગાઉના ચીફ ઓફિસરે કામ તાત્કાલિક શરૂ કરવાની ખાતરી આપતાં રહેવાસીઓએ પ્રતિક ઉપવાસ મુલતવી રાખ્યો હતો, પરંતુ હાલ સુધી કોઈ પ્રગતિ નથી. તો બીજી તરફ નીમાબેન આચાર્ય ધારાસભ્ય હતા ત્યારે બોર્ડ નંબર 1 થી 11 સુધીના માર્ગોની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ વોર્ડ એકમાં ફાળવેલા પૈસા પણ અન્ય વોર્ડમાં વપરાઈ ગયા હતા. તેવો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ નગર સેવિકા કરે છે. ગટર લાઈન નાખવા બાબતે અમન નગરમાં નાખવામાં આવી પરંતુ જીલાની નગરની છેવટ સુધી મંજૂર થઈ નથી. ધારા નગર અને આશાપુરા નગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી વહે છે. આમ પાંચ વર્ષમાં વાયદા અનેક થયા પરંતુ કામ નહિવત થયાનો અસંતોષ સ્થાનિકે અને પૂર્વ નગર સેવકોમાં જોવા મળે છે. કોંગ્રેસના 4 નગરસેવકો હોવાથી કામ ન થયાની રાવભુજ ના કુલ 11 વોર્ડમાંથી પ્રથમ ત્રણ વોર્ડમાં કોંગ્રેસની મજબૂત પકડ હોવાને કારણે અને નગરસેવકો આ પક્ષના ચૂંટાય છે. ભુજનો આ વિસ્તાર સમસ્યાથી વર્ષોથી પીડાતો રહ્યો છે તે માટે કોંગ્રેસી નગર સેવકો હોવાને કારણે સત્તા પક્ષ તેમની માગ નજર અંદાજ કરે છે તેવો આક્ષેપ કરવામાં આવે છે. રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આશાપુરા નગરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે પરંતુ કાયમી ઉકેલ કરવામાં આવતું નથી તેનું પણ આ કારણ માનવામાં આવે છે. વિસ્તારઅમન નગર, સુમરાવાસ, બકાલી કોલોની, કજલી નગર, ભારત નગર, મદીના નગર, આશાપુરા નગર, કુંભાર વાસ, શાંતિનગર, મુસ્તફા નગર, કોલીવાસ વગેરે.. મતદારોની સંખ્યા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે ડાયમંડ સિટીના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિ-પાંખિયા જંગમાં હવે માત્ર સભાઓ અને રેલીઓ જ નહીં 'પ્રચાર સામગ્રી' પણ હથિયાર બની છે. સુરતના બજારોમાં અત્યારે દરેક પક્ષના ઝંડા, ટોપી અને ખેસની સાથે અવનવી વેરાયટીઓનો પૂર આવ્યો છે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ પક્ષના કાર્યકરોએ મતદારોના ઘર સુધી પહોંચવા માટે આકર્ષક પ્રચાર સાહિત્યનું બુકિંગ કરાવી દીધું છે. પ્રચાર સામગ્રીમાં 3D અને ડિજિટલ પ્રિન્ટનું આકર્ષણઆ વખતની ચૂંટણીમાં પરંપરાગત પ્રચારના બદલે હાઈટેક પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બજારમાં અત્યારે સૌથી વધુ ડિમાન્ડ 3D ઇફેક્ટ ધરાવતી પ્રચાર સામગ્રીની છે. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટવાળા ખેસ અને ઝંડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પહેલા સામાન્ય કાપડ પર સ્ક્રીન પ્રિન્ટિંગ થતું હતું, પરંતુ હવે ડિજિટલ પ્રિન્ટિંગને કારણે નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ અને આકર્ષક દેખાય છે. આ સામગ્રી માત્ર દેખાવમાં જ નહીં પણ ક્વોલિટીમાં પણ ઉચ્ચ કક્ષાની હોવાથી કાર્યકરો તેની વધુ પસંદગી કરી રહ્યા છે. મહિલા મતદારો માટે સાડી, પર્સ અને બ્રોચની બોલબાલાસુરત એ કાપડનું હબ છે અને તેનો પ્રભાવ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. મહિલા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ ખાસ ડિઝાઈન કરેલી સાડીઓ તૈયાર કરાવી છે. જે સાડી પર પક્ષના ચિન્હ અને નેતાઓની છબી છે. આ ઉપરાંત લેડીઝ પર્સ, સાડી પિન, બકલ અને બ્રોચ જેવી ચીજોની પણ ભારે માંગ છે. માસ્ક અને ખેસમાં વડાપ્રધાનનો ચહેરો પ્રથમ પસંદભલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય પણ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. બજારમાં સૌથી વધુ ઓર્ડર નરેન્દ્ર મોદીની તસવીરવાળા માસ્ક અને ખેસના છે. બાળકો માટે મોદીના ફેસ-માસ્ક અને યુવાનો માટે ખાસ ડિઝાઈનર મફલરની ધૂમ ખરીદી થઈ રહી છે. પક્ષના ચિન્હવાળા પેન્ડન્ટ અને ચેઈનચૂંટણી સામગ્રીમાં આ વખતે જ્વેલરીનો પણ સમાવેશ થયો છે. ખાસ પ્રકારના ચેન બનાવવામાં આવ્યા છે, જેમાં પક્ષના ચિન્હ (કમળ, પંજો કે ઝાડુ) ના લોકેટ હોય છે. આ ઉપરાંત ટાઈ બટન અને કી-ચેન જેવી એક્સેસરીઝ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. પક્ષના સમર્થકો ગળામાં પક્ષના લોકેટ પહેરીને પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા નજરે પડે છે. આ વેરાયટીઓ ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્રિપાંખિયા જંગમાં ભાજપ સૌથી આગળસુરતમાં રાજકીય પક્ષો વચ્ચેની લડાઈ હવે ઓર્ડરના આંકડામાં પણ દેખાઈ રહી છે. પ્રચાર સામગ્રીના વેપારી મનોજભાઈના જણાવ્યા અનુસાર, ખરીદીમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની પકડ જમાવી છે, જ્યારે કોંગ્રેસ હજુ સુધી ખરીદીના મામલે સુસ્ત જણાઈ રહી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તસવીરવાળા સાહિત્યની માંગ છે, પરંતુ ભાજપની સરખામણીએ તેની માત્રા ઓછી છે. આમ આદમી પાર્ટીનો નવો અભિગમ અને નેતાઓના ચહેરાનો અભાવઆ વખતે સુરતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત મજબૂત પક્ષ તરીકે ઉભરી રહી છે, પરંતુ પ્રચાર સામગ્રીમાં એક વિચિત્ર વળાંક જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં જ્યાં પક્ષના ટોચના નેતાઓના ફોટાની બોલબાલા છે, ત્યાં 'આપ'ની સામગ્રીમાં અરવિંદ કેજરીવાલ કે અન્ય મોટા નેતાઓની તસવીરો ઓછી જોવા મળી રહી છે. વેપારીઓના મતે, આમ આદમી પાર્ટીમાં અત્યારે કોઈ ચોક્કસ ચહેરા કરતા પક્ષના નિશાન 'ઝાડુ' પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બજારમાં આવશે તેજીઅત્યારે જે ખરીદી થઈ રહી છે તે માત્ર પક્ષના સ્તરે છે, પરંતુ અસલી તેજી ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આવશે. વેપારીઓનું અનુમાન છે કે, જ્યારે વોર્ડવાઈઝ ઉમેદવારો નક્કી થશે ત્યારે તેઓ પોતાની વ્યક્તિગત તસવીરવાળા ટી-શર્ટ, બેનરો અને પેમ્ફલેટ બનાવશે. ઉમેદવારો પોતાના પ્રચારને વધુ વ્યક્તિગત બનાવવા માટે કસ્ટમાઈઝ્ડ ગિફ્ટ્સનો પણ ઓર્ડર આપશે, જેનાથી પ્રચાર બજારનું ટર્નઓવર કરોડોમાં પહોંચવાની શક્યતા છે. ડોર-ટુ-ડોર કેમ્પેઈન માટે નાની વસ્તુઓ પર ભારમોટી રેલીઓ કરતા હવે રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર સંપર્ક પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ માટે ખિસ્સામાં સમાઈ જાય એવી અથવા ઘરમાં કામ લાગે એવી વસ્તુઓ જેવી કે બોલપેન, ડાયરી અને સ્ટીકરોની મોટી માંગ છે. ભાજપ યુવા મોરચાના કાર્યકરો અત્યારથી જ વોર્ડ દીઠ કીટ તૈયાર કરી રહ્યા છે જે સીધી મતદારોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ રણનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારના મન પર પક્ષની છાપ છોડવાનો છે. સોશિયલ મીડિયાના યુગમાં પણ ભૌતિક સામગ્રીનો દબદબોસોશિયલ મીડિયા પ્રચારનું મોટું માધ્યમ હોવા છતાં, ભૌતિક પ્રચાર સામગ્રીનું મહત્વ ઘટ્યું નથી. લોકો હજુ પણ ખેસ પહેરીને કે ટોપી લગાવીને પોતાની પક્ષભક્તિ બતાવવાનું પસંદ કરે છે. સુરતના વેપારીઓ માટે આ ચૂંટણી એક ઉત્સવ સમાન બની છે. છેલ્લા બે વર્ષની મંદી બાદ ચૂંટણીના કારણે પ્રિન્ટિંગ અને ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાના ઓર્ડર આવતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે.
દારૂડિયા ઝડપાયા:જેતલપુર બ્રિજ પાસે દારૂની મહેફિલ માણતા 5 પકડાયા
જેતલપુર બ્રિજ નીચે ઈન્ડિયા બુલ્સની સામેથી અકોટા પોલીસે પાંચ જણાને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. પાંચેયે સાથે મળીને દારૂની પાર્ટી કરી હતી. વર્ધી આધારે સ્થળ પર પહોંચી અકોટા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અકોટા પોલીસને કંટ્રોલ તરફથી રવિવારે બપોરે 1.45 વાગે વર્ધી મળી હતી કે, ઈન્ડિયા બુલ્સની સામે વાઇટ હાઉસ કમ્પાઉન્ડમાં કાલકા માતાના મંદિર સામે કાર ફ્રેશ વોશિંગ સેન્ટરની દુકાનમાં પાંચથી છ લોકો દારૂની પાર્ટી કરે છે. જેના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં દારૂ પીને કાર વોશિંગ સેન્ટરની બહાર આવેલા પાંચ મિત્રોને પોલીસે પકડી પાડ્યા હતા. પાંચેય ઈસમ ચિક્કાર દારૂના નશામાં હતા. કાર વોશિંગ સેન્ટર દીપક પેટલનું હોવાનું જાણવા મળ્યું હતું. પાંચેય મિત્ર લાંબા સમયથી મળ્યા નહોતા. જેથી ભેગા થતા દારૂની પાર્ટી કરી હોવાનું પોલીસે કહ્યું હતું. પાંચેય સામે અકોટા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની મહેફિલ માણતા પકડાયેલા શખ્સો
બુટલેગરો ઉપર તવાઈ:નંદેસરીના દારૂના કેસમાં બૂટલેગર મનોજ સહિત 5 જેલ ભેગા કરાયા
નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાંથી એસએમસીએ પકડેલા રૂ.43.46 લાખના દારૂના કેસમાં બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 5 લોકોને જેલના હવાલે કરાયા હતા. બીજી બાજુ બૂટલેગર લાલુ સિંધી, સુનિલ અદાને હજી પોલીસ પકડી શકી નથી. નંદેસરી જીઆઈડીસીમાં એસએમસીએ 29 માર્ચે રધીયાપુરા પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડી રૂ.43.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. ત્યારે પોલીસે વાહનો, મોબાઈલ સાથે રૂ.1.40 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી છ જણા પકડાયા હતા, જે પૈકી બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંગાણી, સુનિલ મોતીલાલ ટેલર, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ, વિક્રમસિંગ દિવાનસિંગ તથા કિર્તીકુમાર નાનાલાલ મીણાને પકડી પાડ્યા હતા. ત્યારે તેમાંથી સુનિલ ટેલરને બાદ કરતા અન્ય પાંચ જણા 7 દિવસના પોલીસ રિમાન્ડ પર હતા. એસએમસીએ તપાસ પોતાની પાસે જ રાખી હતી, જે તપાસમાં પોલીસે તમામ આરોપીના ફોન ડિટેઇલ, બેંક એકાઉન્ડ સહિતની તપાસ શરૂ કરી હતી. સોમવારે પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરી જેલ ભેગા કરી દેવાયા હતા. બીજી બાજુ બૂટલેગરો લાલચંદ ઉર્ફે લાલુ સિંધિ ખાનાણી, સુનિલ ઉર્ફે અદો કેવલરામાણી સહિત આરોપીઓ હજી પકડાયા નથી. આરોપીઓ પાસેથી 11 ફોન કબ્જે કરાયા હતા. ત્યારે તમામ ફોનને એફએસએલમાં મોકલી તપાસ કરાઈ આવી રહી છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર કરતા પહેલા રાત્રે 2 વાગ્યા સુધી બેઠકો યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરીને બેઠક પરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સાથેની બેઠકમાં તમામ મુદ્દાઓને ચર્ચા કર્યા બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જે બાદ અનેક બેઠક પર પર ઉમેદવારને લઈને સ્થાનિક સ્તર પર અને સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની યોગ્ય પંસદગી કરવામાં ન આવી હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે જે બેઠક પર વિવાદ ન સર્જાય તેવી બેઠકો પર જ ઉમેદવાર જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જેથી ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઈ વિવાદ ન સર્જાય અને કોંગ્રેસ મજબૂતાઇથી ચૂંટણી લડી શકે. જેથી નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની ચર્ચા કરીને પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસને જે શંકા હતી કે યાદી જાહેર થયા બાદ અમુક જગ્યાએ વિવાદ સર્જાઈ શકે છે તેવું જ અમદાવાદ મ્યુનિસિપલ બે બેઠક થયું છે. કોંગ્રેસે ભાજપ પહેલા યાદી તો જાહેર કરી દીધી છે પરંતુ હવે સ્થાનિક કાર્યકર્તાઓ જ તે ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડના ઉમેદવારના નામને લઈ વિવાદરામોલ હાથીજણ વોર્ડમાં બે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પદમાબેન પરમાર અને શેખ રમીજરાજા અબ્દુલ અઝીઝને ઉમેદવાર તરીકે કોંગ્રેસે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેમાંથી શેખ રમીજરાજાના નામને લઈને વિવાદ સર્જાયો છે. વર્ષ 2024માં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ સર્જાતા કેટલાક યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ તે તમામ લોકો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. શેખ રમીજરાજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. જય શાહ અને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથેના શેખ રમીજરાજાના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓે પૂછી રહ્યા છે- રમીજ રાજાએ ઘરવાપસી ક્યારે કરી?જેને લઈને સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપના નેતાઓ સાથેના શેખ રમીજરાજાના ફોટો વાયરલ કરીને ઉમેદવારની પંસદગી લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી સવાલ ઉઠાવ્યા છે કે 2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી ક્યારે કરી છે. રમીઝ પુનઃ કોંગ્રેસમાં જોડાય એ પૂર્વે જ પક્ષે ટિકિટ આપી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2024 પછી શેખ રમીજરાજા NSUI અથવા યુથ કોંગ્રેસના એક પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. તેમજ જો કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હોય તો તેના ફોટો વીડિયો જાહેર કરવાની પણ સ્થાનિક કાર્યકર્તાઓએ માંગ કરી છે. શેખ રમીજરાજાના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માંગ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બચાવની ભૂમિકામાં દેખાયાસમગ્ર વિવાદને લઈને અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, રમીઝ છેલ્લા ઘણા સમયથી NSUI-યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. ઘણા બધા લોકો વિવાદ ઉભો કરવા માટે ખોટો પ્રચાર કરતા હોય છે. યુવાન ઉમેદવાર હોવાથી તેને ટિકિટ આપવામાં આવી છે. તે પહેલા પણ NSUIમાં વાઇસ પ્રીસિડેન્ટ તરીકે કામ કર્યું છે. બિઝનેસના કામ માટે થોડા નિષ્ક્રિય હતા. જયરાજસિંહ સાથે જોડાયા હોય તેવી કોઈ વાત નથી. કોઈ કાર્યક્રમમાં મળતા હોય તે સમયના ફોટો હોય શકે છે. જેથી કોંગ્રેસમાં ફરી જોડાવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તેને વર્ષો સુધી કામ કર્યું છે અને વેલફેરની ચૂંટણી પણ લડવાનો હતો. જો કે અત્યારે તેને પ્રચાર માટેનું કામ પણ શરૂ કરી દીધું છે. જેથી વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરી યોગ્ય સમાધાન લાવીશું. વટવાના ઉમેદવાર આપના કાર્યક્રમમાં હાજર હોવાના ફોટો વાઈરલ તો વટવામાં ત્રણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સોએબઅલી સાબિરઅલી રાજપૂતના નામને વિવાદ સર્જાયો છે. સોએબઅલી સાબિરઅલી રાજપૂતના આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવા કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યાં પણ સ્થાનિક કાર્યકર્તાઓ ઉમેદવાર બદલવા માટેની માંગ કરી રહ્યા છે. વટવા ઉમેદવારના વાયરલ ફોટોને લઈને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, વટવામાં અમારા સિનિયર નેતાઓએ વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. વટવામાં 40 જેટલા બુથ છે તેની મુલાકાત લઈને અમે સોએબઅલી સાબિરઅલી રાજપૂતને ટિકિટ આપી છે. તેમજ 500 લોકોની મિટિંગ કરીને સ્થાનિક નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમેદવાર SIRની કામગીરીમાં પણ જોડાયેલા હતા. જેથી યુવા ઉમેદવાર તરીકે તેને અમે ટિકિટ આપી છે. તે છેલ્લા બેથી ત્રણ મહિનાથી અમારી સાથે કામ કરે છે. પ્રભારી સાથે ચર્ચા કર્યા બાદ જ નામ નક્કી કરવામાં આવ્યું છે તે સતત અમારી સાથે જ હોય છે. ખાડિયામાં અનામતની સીટ જાહેર થઈ છે તેના આધારે માધુરી કલાપીબેન હતા જ્યાં OBC આવી ગયું છે જેથી તેમના પતિ છે તેમને ખાડિયામાં તક આપવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે.સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે.લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ટ ઝીરો પર પહોંચી. સૌપ્રથમ વારસિયા અને યાકુતપુરા વિસ્તારમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી.જ્યાં સરસિયા તળાવમાં રહેલી ગંદકી સૌથી મોટો પ્રશ્ન છે. સાથે જ તળાવ પર બનાવવામાં આવેલા બ્રિજ વારસિયા અને યાકુતપુરા વિસ્તારના લોકો માટે જીવના જોખમ સમાન છે. કારણ કે વર્ષો જૂનો, સાંકડો અને જર્જરિત છે. આ સાથે તળાવમાં ગંદકીની ભરમાર છે. આસપાસના લોકો આ તળાવમાં રહેલી ગંદકીથી પીડાઈ રહ્યા છે.આ વિસ્તારમાં પાણી, ડ્રેનેજની સમસ્યા સાથે અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશનના પ્લોટોનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, તો તળાવ આસપાસ ગંદકી અને પ્રોટેક્શન દીવાલની સ્થિતિ ખુબજ ગંભીર છે. પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાનબાદમાં અમે મદાર મહોલ્લો, જૂની ગઢી સહિતના વિસ્તારોમાં પહોંચ્યા હતા.મદાર મહોલ્લામાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધારૂપ શુદ્ધ પાણીથી તરસી રહ્યા છે. લોકોને પાણીના કનેક્શન માટેની લાઇન લગાવે ચાર વર્ષ સમય થયો છે.છતાં હજુ નળ સુધી પાણી પહોંચ્યું નથી.આ સાથે કેટલાક વિસ્તારોમાં પાણી આવે છે પરંતુ ઓછા પ્રેશરથી અને દૂષિત જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ વોર્ડ સ્થાઈ સમિતિના ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીનો હોવા છતાં વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે. આવાસો હાલમાં જર્જરિત હોવાથી રહીશોમાં ભયઆ સાથે અમે કિશનવાડી વુડાના મકાન પાસે પહોંચ્યા જ્યાં આસપાસ અસંખ્ય ગંદકી અને આવાસોની સ્થિતિ કફોડી જોવા મળી હતી.આ વિસ્તારમાં શાકમાર્કેટ અને ડમ્પીંગ યાર્ડ બાજુમાં હોવાથી આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.અહીંયા વિસ્તાર એક હોવા છતાં ત્રણ વોર્ડમાં વહેંચાઈ ગયો છે.જેથી લોકો પણ અસમંજસમાં છે, સ્થાનિકો વુડાના મકાનમાં ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. ‘અમારી સમસ્યા કોને કહેવી, કોઈએ પગ મૂક્યો નથી અહીંયા’યાકુતપુરાના સ્થાનિક અને સામાજિક આગેવાન હુસેન મુલતાનીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક સર સયાજીરાવ ગાયકવાડ સમયનું સરસિયા તળાવ છે.આ તળાવના વિકાસ માટે હું અસંખ્ય આરટીઆઈ અને અસંખ્ય અરજીઓ કરી ચૂક્યો છું.કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોય તેવું બતાવવામાં આવે છે. બ્રિજ 10 ફૂટ લાંબો કરવા માટે રજૂઆતો છતાં કઈ પરિણામ મળ્યું નથી.તળાવમાં અસંખ્ય ગંદકી અને સ્થિતિ ખુબજ ખરાબ છે. ચાર કોર્પોરેટર અને ધારાસભ્ય હોવા છતાં વિકાસ થયો નથી.આ વિસ્તારમાં ચૂંટાયા બાદ આ વિસ્તારમાં કોઈએ પગ મૂક્યો નથી,અમે અમારી સમસ્યા કોને કહીએ. ‘સૌથી પહેલા પાણીની સમસ્યા હલ કરીશું’વારસિયામાં રહેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનુપ બંસીધર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે,પીવાનું પાણી ખુબ ખરાબ આવે છે,જે સૌથી મોટી સમસ્યા છે.અહીંયા રોડ-રસ્તા અને ગટર જેવી સમસ્યાઓ છે.તળાવની સ્થિતિ પણ ખુબજ ખરાબ છે.લોકો અમને લાવશે તો પહેલા પાણી અને ડ્રેનેજની સુવિધાને પ્રાધાન્ય આપીશું. ‘ઘર ખાલી કરાવ્યા ત્યારે કોઈ ન આવ્યું’સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ પાસે રહેતા રહીશ વિપુલ કહારે જણાવ્યું હતું કે, અમારે પાણીની સમસ્યા છે.પહેલા પાણી અહીંયા પ્રેશર આવતું નથી. અહીંયા મોટર લગાવવી પડે ત્યારે પાણી મળે પરંતુ તે કરી શકતા નથી અને પાણી આવે છે.તે પણ ગટરનું કાળી માટી જેવું આવે છે.અડધો કલાક પણ પાણી આવતું નથી.અહીંયા કોઈ આવતું નથી, માત્ર વોટ લેવા માટે આવે છે. મકાનોને નોટિસ આપી ઘર ખાલી કરાવ્યા ત્યારે કોઈ જોવા નથી આવ્યું.અહીંયા ખાવાનું કોઈ એ પૂછ્યું નથી. જોખમી સરસિયા તળાવના બ્રિજ પરથી આવતા ઈકબાલભાઇએ જણાવ્યું કે, હું તળાવની સામેની તરફ રહું છું.અહીંયા બ્રિજ પર આવવું મારા માટે કાયમનું છે.અમે જીવન જોખમે અહીંયાથી પસાર થઈએ છીએ અને તે બ્રિજ મોટો થયા કારણ કે જવા અને આવવામાં તકલીફ પડે છે.રેશમાબેને જણાવ્યું કે,આ બ્રિજ એટલો સાંકડો છે કે એક સાથે બે લોકો ચાલી શકતા નથી.સામેથી કોઈ ગાડી આવી જાય તો સામેથી દૂર રહેવું પડે.અહીંયા જો વધુ પાણી આવી જાય તો તે પડી જશે અને તેને તૈયાર કરવાની જરૂર છે. ‘ચૂંટણી આવે છે હવે, વોટ લેવા આવશે તો ઘૂસવા નહીં દઈએ’યાકુતપુરા વિસ્તારના એકલાસ મહોલ્લામાં રહેતા પરવેઝભાઈ શેખે જણાવ્યું હતું કે, અહીંયા છેલ્લા ચાર વર્ષથી પાણીની લાઇન નાખવામાં આવી છે. પરંતુ નળનું જોડાણ કરવામાં આવતું નથી. ચાર વર્ષથી અહીંયા લાઇન હોવા છતાં પાણી મળતું નથી.પરવેઝભાઈનું કહેવું છે કે વેરો ભર્યો હોવા છતાં પાણી કનેક્શન આપવામાં આવતા નથી.આ બાબતે અમે મોરચો લઈ કોર્પોરેશન પણ ગયા છીએ,છતાં કોઈ સુવિધા મળી નથી.હાલમાં ચૂંટણી આવે છે. વોટ લેવા આવશે તો અમે કોઈને ઘૂસવા દઈશું નહીં.અહીંયા ચાર કોર્પોરેટર હોવા છતાં એકપણ કોર્પોરેટર દેખાયો નથી. કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનોની ખુબજ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંના લોકોને પાણીની સૌથી મોટી સમસ્યા છે. સાથે ગધેડા માર્કેટ પાસે શાક માર્કેટ સાથે ડમ્પિંગ યાર્ડ અહીંના રહીશો માટે એક પડકારજનક બન્યું છે.આ સ્થાઈ સમિતિના ચેરમેન રહી ચૂકેલા ડૉ.શીતલ મીસ્ત્રીનો વોર્ડ છે,જ્યાં સીધે સીધા આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે.અહીંયા આવેલ વુડાના મકાનોની સ્થિતિ ખુબજ ખરાબ છે. ‘ટેક્સના પૈસાથી આઇફોન ખરીદી તેમાં લોકોની રજૂઆતો જોતા નથી’ અહીંના સ્થાનિક ઘનશ્યામ પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ કિશનવાડી વિસ્તાર શહેરના મધ્ય ભાગમાં આવેલો ઝૂપડપટ્ટીનો વિસ્તાર હતો. અત્યારે આ વિસ્તારને ત્રણ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યો છે. વિકાસની વાત કરવામાં આવે તો અહીંયા કોઈ વિકાસ થયો નથી. છેલ્લા પાંચ વર્ષમાં આવેલા તમામ કોર્પોરેટરમાંથી એકપણ અહીંયા જોવા માટે આવતા નથી.કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી અમારા ટેક્સના પૈસાથી ખરીદેલ આઇફોન વાપરતા હોય ત્યારે અમે અમારી સમસ્યાઓ મોકલીયે છીએ ત્યારે તેઓ જોતા પણ નથી. વધુમાં જણાવ્યું હતું કે,સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ટેક્સના પૈસાથી ખરીદેલ આઈફોન વાપરી રહ્યા છે.જે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.એની કોર્પોરેટર સમસ્યા નિવારણ આવ્યા બાદ ફોટો સેશન કરવા માટે અહીંયા આવી જાય છે. વુડાના ત્રણ હજાર મકાનો છે જેમાંથી 1256 મત છે, અહીંયા મતદારો વધુ હોવા છતાં નામ નથી. આ બાબતે અમે ચૂંટણી પંચને લખીને આપ્યું છે છતાં કોઈ નામ મતદાર યાદીમાં દાખલ થયા નથી.અહીંયા આવેલા આવાસ જર્જરિત હાલતમાં છે,ગટર અને પાણીની સમસ્યા છે જે માટે અમે કોર્ટમાં લડી રહ્યા છીએ.ગરીબો કોર્પોરેશન સામે નેશનલ અદાલતમાંલડી રહ્યા છે. 'કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરીને કરોડપતિ થયા' વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ કિશનવાડી પાસે ડમ્પીંગ યાર્ડને લઈ નિલેશ વસઈકરે જણાવ્યું હતું કે, આ ગધેડા માર્કેટ વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ છે અને તેની બિલકુલ બાજુમાં શાક માર્કેટ છે.આ વિસ્તારમાંથી પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે. પોતે ડોક્ટર હોવા છતાં અહીંયા સ્વાસ્થ્ય સાથે સીધે સીધા ચેડા થઈ રહ્યા છે.ત્રીસ વર્ષમાં માત્રને માત્ર નગર સેવકોનો વિકાસ થયો છે. નાગરિકોના પૈસે આઇફોન અને ટેબલેટ લે છે પરંતુ જ્યારે વોર્ડના વિકાસની વાત આવે ત્યારે આ ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી.નગર સેવક ભ્રષ્ટાચાર કરી પોતે કરોડપતિ થયા છે, પરંતુ નગરજનો એવાને એવાજ છે. આ અંગે વોર્ડ 6 ભાજપના પ્રમુખ પ્રવીણ ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્ય અને કોર્પોરેટરોએ અઢળક વિકાસના કામો કર્યા છે. દરેક સોસાયટીમાં રોડ રસ્તા અંગે કામ કરવામાં આવ્યું છે. અહીંયા એક બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કિશનવાડી વિસ્તારમાં આવેલ ડમ્પીંગ યાર્ડ બાબતે પાર્ટીમાં મેં રજૂઆત કરી છે અને હાઈવે પાર તે માટે જગ્યા મળે એટલે શિફ્ટ કરવામાં આવશે. વારસિયા અને યાકુતપુરા વિસ્તારમાં ગંદકી અંગે કહ્યું કે અહીંયા મહોરમ સહિત તહેવારોમાં વિસર્જન થતું હોવાથી આ પરિસ્થિતિ છે અને અહીંના નાગરિકો પણ જાગૃત થાય તે જરૂરી છે.
રાજકોટનો વોર્ડ નંબર 18 કે જ્યાં આજથી 10 વર્ષ પહેલા ભળેલા કોઠારીયા ગામનો સમાવેશ થાય છે. આ વોર્ડનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કોઠારીયા ચોકડીના નાળામાં મસમોટા ખાડાને લીધે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. 63,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ખરાબ રસ્તાઓ, ટ્રાફિક અને સૂચિત મકાનોના પ્રશ્નો છે. અહીંનું કોઠારીયા રેલવે સ્ટેશન ખખડધજ હાલતમાં છે. વિકાસની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક ચંદ્રેશ દેવમુરારિએ કહ્યું, રસ્તો જ બન્યો નથી અને પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. જ્યારે સ્થાનિક હિરેન નવઘણવદરાએ જણાવ્યું કે, ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી. ગણેશ પાર્કની ત્રણ શેરીઓમાં તો રોડ જ બન્યા નથીઆ ઉપરાંત આ વિસ્તારની સોસાયટીઓમાં DI પાઇપલાઇન નાખ્યા બાદ લાંબા સમયથી રસ્તાઓ ખોદેલા નજરે પડે છે. અહીંના શીતળાની ધાર પાસે રહેતા લોકોના ઘરે તો પાણીની પાઇપલાઇન જ પહોંચી નથી. જેને કારણે બારેમાસ ટેન્કર રાજ ચાલી રહ્યુ છે. જ્યારે ગણેશ પાર્કની ત્રણ શેરીઓમાં તો રોડ જ બન્યા નથી. 225 કરોડના વિકાસ કામો થયાનો પૂર્વ કોર્પોરેટરનો દાવોઆ ઉપરાંત વિસ્તારની દ્રષ્ટિએ આંગણવાડીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જ્યારે વિદ્યાર્થીઓને વાંચવા માટે લાઇબ્રેરીની પણ સુવિધા નથી. આ સાથે જ અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોનું ડેવલપમેન્ટ ખૂબ જ ઓછું થયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા અહીં 225 કરોડના વિકાસ કામો થયાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે તે પહેલાની ટર્મમાં કોંગ્રેસની સત્તા વખતે કોર્પોરેટર રહી ચૂકેલાએ રૂ.175 કરોડના કામો કર્યાની વાત કરી છે. 'શીતળાની ધાર પાસેના વિસ્તારોમાં તો પાણીનું કનેક્શન જ નથી'વેપારી મનોહરસિંહ પરમારે જણાવ્યું હતું કે, હું કોઠારીયા સોલ્વેન્ટમાં પાનની દુકાન ધરાવું છું. ભાજપના એક પણ કોર્પોરેટર છેલ્લા પાંચ વર્ષમાં અહીં દેખાયા નથી. ઓછા ફોર્સથી પાણી બાબતે મહિલાઓ રજૂઆત કરવા જાય તો ત્યાં કોઈ હોતું નથી. જ્યારે શીતળાની ધાર પાસેના વિસ્તારોમાં તો પાણીનું કનેક્શન જ નથી. કાચો રોડ બનેલો છે પરંતુ પાકો રસ્તો બનતો નથી. અહીં ભાડાના મકાનમાં ચાલતું આરોગ્ય કેન્દ્ર અઠવાડિયામાં એક વખત ખુલ્લું રહે છે. અહીં સરકારી 2 શાળાની સામે પ્રાઇવેટ સ્કૂલ 8 છે. જેથી અહીં ઓછા પગારદાર લોકોને પોતાનો પગાર ફી માં જ આપી દેવાનો. 'અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ નથી'મનોહરસિંહ પરમારે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત સરકારી સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજનના મેનુમાં ચારમાંથી બે વસ્તુ તો હોતી નથી. અહીં એક પણ સારો બગીચો નથી. અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ નથી. જેને લીધે ક્લાસ વન ઓફિસરમાં ગુજરાતી નહીં પરંતુ હિન્દી ભાષી છે. સરકાર કહે છે ભણશે ગુજરાત, બેટી બચાવો અને બેટી પઢાઓ પરંતુ અહીં સ્કૂલ હોય તો ભણાવીએ ને. સરકાર કહે છે અમે સરદાર સરોવર બનાવ્યું પરંતુ તે બધાની જરૂર નથી એજ્યુકેશનની જરૂર છે. અહીં સારું શિક્ષણ હશે તો ભવિષ્યમાં ગુજરાતનું નામ રોશન થશે. 'મતની જરૂર પડે ત્યારે દોડી આવે, પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી'ગણેશ પાર્કમાં રહેતા ભારતીબેન ભગદેવે જણાવ્યું હતું કે, અહીં અમે 12 વર્ષથી રહીએ છીએ પરંતુ અહીંનો રસ્તો જ બન્યો નથી. ચૂંટણી આવે ત્યારે અહીં જમણવાર કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ અહીં આવતું નથી. અહીં પીવાનું પાણી 10 મિનિટ જ આવે છે અને સ્ટ્રીટ લાઇટ નથી. લાઇટ પણ વારંવાર ચાલી જાય છે. અમને અહીં રોડ બની જશે તેવી લાલચ આપી અમારા પ્રાઈવેટ બ્લોક કાઢી ગયા છે પરંતુ હજુ સુધી રસ્તો બન્યો નથી. રાજકોટ શહેરમાં તમામ જગ્યાએ રસ્તાઓ બન્યા છે પરંતુ અમારા ગણેશ પાર્કની ત્રણ શરીરમાં રસ્તો બન્યો નથી. જ્યારે અમારા મતની જરૂર પડે ત્યારે દોડી આવે છે પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળતા નથી તે કઈ રીતે ચાલે. અમારા રસ્તા બનશે તો મત આપશું બાકી અમારે ચૂંટણીમાં કોઈને મત આપવાનો થતો નથી. 'રસ્તો જ બન્યો નથી, પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા'રહેવાસી ચંદ્રેશ દેવમુરારિએ જણાવ્યુ હતુ કે, અહીં ગણેશ પાર્કમાં રસ્તો જ બન્યો નથી. પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. સ્ટ્રીટ લાઇટ બંધ છે. આ બાબતે મહિલાઓ રજૂઆત કરવા ગયા હતા તો વોર્ડ ઓફિસે તાળા હતા. જે બાદ એક માસમાં રસ્તો બનાવવાનો વાયદો આપ્યો હતો પરંતુ ત્યાર પછી કોઈ આવ્યું નથી. દર વખતે રાજકીય પક્ષો મત માંગવા વખતે વાયદાઓ આપી છેતરી જાય છે પરંતુ આ વખતે જે પક્ષના ઉમેદવાર કામ કરશે તેને જ મત આપશું. 'કોર્પોરેટરને રજૂઆત કરી છતાં તેઓ પણ કંઈ કરતા નથી'જ્યારે સ્થાનિક અરજણ બોરીચાએ જણાવ્યું હતું કે, જ્યાંથી દરરોજ 20 સ્કૂલ બસ પસાર થાય છે. અહીંથી નાના બાળકો શાળાએ જાય છે અને સિનિયર સિટીઝન પણ પસાર થાય છે. જ્યાં ઊભું રહેવાની જગ્યા નથી અને બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે તે કઈ રીતે હોય શકે? જે સમસ્યાનું કંઈક નિરાકરણ લઈ આવો તો સારું. બાકી મારા જેવા બોલ્યા રાખે તો કોઈ સાંભળતું તો છે નહીં. 'મેઇન રોડ પર એક ફૂટના ખાડા'સ્થાનિક અમિતભાઈએ જણાવ્યું હતું કે, હું સુખરામનગર સોસાયટીમાં રહું છું અને એક મકાન રંગીલા પાર્કમાં આવેલું છે. વોર્ડ નંબર 18માં 50 ટકા નવો ડેવલપ થયેલો વિસ્તાર છે પરંતુ અહીં રસ્તા, પાણી, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ નથી. રંગીલા અને ભવનાથ સોસાયટીના આ મેઇન રોડ પર એક ફૂટના ખાડા છે. અંડર ગ્રાઉન્ડ લાઇન નાખવા એક વર્ષમાં ત્રણ ત્રણ વખત રસ્તા ખોદવામાં આવ્યા છે. અહીં બાજુમાં એક સ્કૂલ આવેલી છે. જ્યાં મોટા ખાડા છે. જ્યાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી સ્કૂલ વાન અને બસ નીકળી શકતી નથી. 'પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદીને જતા રહ્યા'તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતા મંજુબેને જણાવ્યું હતું કે, અહીં રસ્તા અને પાણીની સમસ્યા છે અને સ્પીડ બ્રેકર નાખવા કોઈ આવતું નથી. સફાઈ યોગ્ય રીતે થતી નથી. ફરિયાદ કરવામાં આવે ત્યારે વાળવા માટે સફાઈ કામદાર આવે છે પરંતુ તેઓ અડધી શેરી સુધી જ સફાઈ કરે છે. અહીં રસ્તા ખોદવામાં આવ્યા છે જો તે રીપેર નહીં થાય તો ચોમાસામાં અહીં પાણી ભરાશે અને ખૂબ જ તકલીફ પડશે. અહીં પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદી ગયા પરંતુ ત્યારબાદ કોઈ આવ્યા નથી. અહીં ચોમાસામાં અંદરના વિસ્તારોમાં પાણી ભરાય છે. 'કોર્પોરેટર વિસ્તારમાં કોઈ વખત આવ્યા જ નથી'શારદાબેને જણાવ્યું હતું કે, તિરુપતિ પાર્કમાં ઘરે ઘરે કચરો લેવા માટે કોઈ આવતું નથી. ટીપરવાન આવે ત્યારે તેની પાછળ દોડીને કચરો નાખવા જવું પડે છે. અહીં કોર્પોરેટર કોણ છે તેમને ખબર નથી કારણકે તેઓએ વિસ્તારમાં કોઈ વખત આવ્યા જ નથી. અહીં પીવાના પાણીનો ફોર્સ પણ ખૂબ જ ઓછો છે. 'ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી'સ્થાનિક હિરેન નવઘણવદરાએ જણાવ્યું હતું કે, તિરુપતિ બાલાજી પાર્ક શેરી નંબર ત્રણમા રહીએ છીએ. અહીં ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી. પાઇપલાઇન નાખવા માટે છ મહિના પહેલા રસ્તા ખોદી ગયા છે. જે બાદ હજુ સુધી આ રસ્તો બન્યો નથી. જોકે અગાઉ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર તરીકે નિલેશ મારું હતા ત્યારે તેઓ અમારી સમસ્યા સાંભળતા હતા. અડધી રાતે કે વહેલી સવારે ફોન કરીએ તો પણ તેઓ ફોન ઉપાડતા હતા અને તુરંત સ્થળ પર હાજર થઈ જતા હતા. કલેકટર કચેરી ખાતે અહીં સ્પીડ બ્રેકર નાખવા માટેની અરજી 9 માસ પહેલા આપવામાં આવી હતી. આમ છતાં પણ અહીં સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યુ નથી. અહીં ભાજપના કોણ કોર્પોરેટર છે તે મને પણ ખબર નથી. સફાઈ કામદારો અમુક શેરીઓમાં જ વાળવા માટે આવે છે. તેઓને સરકાર દ્વારા તો પૂરો પગાર આપવામાં આવે છે અને તે પગાર અમારા ટેક્સના પૈસામાંથી જ થાય છે. આમ છતાં પણ અહીં સફાઈ થતી નથી. 'ભાજપનું શાસન છતાં અમારી પાસે લોકો ફરિયાદ લઈને આવે છે'કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ મારુંએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ભાજપના 4 કોર્પોરેટરો ભેગા મળી મિટિંગ નથી કરી શકતા. જેઓ લોકોનો વિકાસ કઈ રીતે કરી શકે? વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે અમે ચારેય કોર્પોરેટર દર મહિને વોર્ડ ઓફિસે લોકોના પ્રશ્નોને લઈને બેઠક કરતા. છેલ્લા 5 વર્ષમાં ભાજપના શાસનમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. રસ્તા, ગટર અને પાણીની અનેક ફરિયાદો છે. ભાજપનું શાસન હોવા છતાં અમારી પાસે લોકો ફરિયાદ લઈને આવે છે. કોઠારીયા ગામ અને અહીંની આસોપાલવ અને ઉત્સવ પાર્ક સહિતની સોસાયટીઓ છે. જ્યાંથી હું નીકળું તો કહે છે કે અહીં કોઈ વિકાસકામો થયા નથી. અહીં કોંગ્રેસે 5 વર્ષમાં રૂ.175 કરોડના વિકાસકામો કર્યા હતા. અમારા કાર્યકાળમાં શરૂ થયેલા કામો જ હાલ પૂરા થયા છે. નવા એક પણ વિકાસકામ તેઓ લઈ આવ્યા નથી. 'ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતો થાય છે, પાણી ભરાઈ છે'વોર્ડ નં.18 કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ બાબીયાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં ભાજપના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર જ થયો છે. અહીં કોઠારીયાના નાળાનો પ્રશ્ન છે. અહીંથી દરરોજ હજારો વાહન ચાલકો અવરજવર કરે છે. અહીં ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતો થાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા તકલીફ પડે છે. કોઠારીયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં પડ્યું તેને દસ વર્ષથી વધુ સમય થઈ ગયો તેમ છતાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થતી નથી જે બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. 'મૂંગી ભાજપ સરકાર લોકોના પ્રશ્નો સાંભળતી નથી'રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ રવિ જીતીયાએ જણાવ્યું હતું કે, શહેરના રાજમાર્ગ ગણાતા કાલાવડ રોડ ઉપર રહેતા લોકો જેટલો ટેક્સ ભરે છે તેટલો જ ટેક્સ અહીંના લોકો પણ ભરે છે આમ છતાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અહીંની કોઠારીયા ચોકડી પાસે બબ્બે ફૂટના ખાડા છે. જે ગાડા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે. 'છ મહિનાથી રસ્તાઓ ખોદેલા છે. લોકો વિરોધ કરે ત્યારે મોરમ નાખી જતા રહે'વોર્ડ નંબર 18 ના AAPના ઉમેદવાર સુરજ બગડાએ જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છું. આ વોર્ડનો મોટાભાગનો વિસ્તાર છેલ્લા 12 વર્ષથી કોર્પોરેશનમાં ભળી ગયો છે. જોકે અહીં મહાનગરપાલિકાએ વેરો ઉઘરાવવા સિવાય કોઈ નોંધપાત્ર કામ કર્યુ નથી. અહીંની વસ્તી પ્રમાણે આંગણવાડી ખૂબ જ ઓછી છે. 10 બાય 10ની આંગણવાડીમાં 100 વિદ્યાર્થીઓ ભણવા માટે મજબુર બન્યા છે. અહીં કોર્પોરેશન દ્વારા DI પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદ છ મહિનાથી રસ્તાઓ ખોદેલા છે. લોકો વિરોધ કરે ત્યારે મોરમ નાખી જતા રહે છે. અહીં કોઈ ઈમરજન્સીની પરિસ્થિતિ સર્જાય ત્યારે કોઠારીયા ચોકડીથી ટ્રાફિક જામમાંથી અવરજવર કરવામાં ખૂબ મૂશ્કેલી પડે છે. રિદ્ધિ સિદ્ધિ પાર્ક પાસેના બ્રિજનો પણ મોટો પ્રશ્ન છે. માલધારી અને કોઠારીયા સોલ્વેન્ટ ફાટક પાસે ખૂબ જ ટ્રાફિક થાય છે. અહીં વર્ષ 2015માં કોંગ્રેસ અને 2021માં ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા ત્યારે અમે જ્યારે જન સંપર્કમાં જઈએ છીએ ત્યારે લોકો કહે છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેને જોઈ લીધા પરંતુ કોઈએ કામ કર્યા નથી જેથી AAP ને મોકો આપવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. 'પાણીની પાઈપલાઈનનું કનેક્શન આપવામાં આવ્યુ નથી'આ જ વોર્ડના AAPના અન્ય ઉમેદવાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, અહીં આહીર ચોકથી ભવનાથ સોસાયટી, રેઈન્બો સોસાયટી, શ્રદ્ધા પાર્ક, તિરૂપતિ બાલાજી પાર્ક, રણુજા મંદિરની આસપાસની સોસાયટીઓ ઉપરાંત મુખ્ય કોઠારીયા રોડ પરની સોસાયટીઓ આવેલી છે. અહીં ખરાબ રસ્તા અને ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. અહીં રામેશ્વર ગોલ્ડ સોસાયટી ત્રણ વર્ષથી નિર્માણ પામેલી છે. અહીં આજની તારીખે દરરોજ ટેન્કર મારફત પાણી વિતરણ થાય છે. અહીં દિવાના પાણીની પાઈપલાઈનનું કનેક્શન આપવામાં આવ્યુ નથી. અમે જ્યારે કોર્પોરેશનને આ બાબતે રજૂઆત કરવા ગયા તો જવાબ મળ્યો કે અમારી પાસે પાણીનો પૂરતો પુરવઠો નથી. લોકોને પીવાનું પાણી પૂરું પાડી ન શકતા હોય તો ખેડૂતોને પાણી આપવાની તો વાત ક્યાં રહી ? અમે જીતશું તો કામની રાજનીતિ કરશું. 'સ્ટ્રોમ વોટર લાઇન નાંખ્યા બાદ જ નવા રોડનું નિર્માણ થયુ'વોર્ડ નંબર 18ના ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વસ્તીની દ્રષ્ટિએ આ ખૂબ જ મોટો વોર્ડ છે. 19 કિમીનો વિસ્તાર છે. અહીં 300 જેટલી સોસાયટીઓ આવેલી છે. પાંચ વર્ષ પહેલા અહીં એક પણ રોડ સારો ન હતો. જોકે હવે અહીંનો મુખ્ય કોઠારીયા રોડ સહિતના રસ્તાઓ સારા બની ગયા છે. અમારા કાર્યકાળમાં અહીં વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર નવું બન્યુ છે. આ ઉપરાંત કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. અહીં 5 વર્ષ પહેલા જે પ્રશ્નો હતા તેમાંથી 90 ટકા પ્રશ્નો દૂર થઈ ગયા છે. સ્ટ્રોમ વોટર લાઇન નાંખ્યા બાદ જ નવા રોડનું નિર્માણ થયુ છે. 'અમે સત્તામાં આવ્યા બાદ દરરોજ પાણી વિતરણ શરૂ કરાયુ'જ્યારે કોઠારીયા ચોકડી બ્રિજ બાબતે પૂછતા જણાવ્યું કે, નેશનલ હાઈવે સાથે જોડાયેલા આ બ્રિજનો પ્રશ્ન દોઢ વર્ષથી એટલા માટે હતો કે તેની ડિઝાઇનમાં ફેરફાર થયો હતો. પહેલા બોલબાલા માર્ગવાળો પૂલ ન્હોતો. જે બાદ તે બ્રિજ આવ્યો. જોકે ખોખળદડ નદી પાસેનો સર્વિસ રોડ સિમેન્ટનો બનાવવામાં આવ્યો છે. અત્યારસુધી 90 ટકા રહેણાંક વિસ્તારમાં ડામર રોડ કરી દેવાયો છે. જોકે હવે આગામી 5 વર્ષનું અમારું વિઝન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોનું ડેવલોપમેન્ટ કરવાનું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અગાઉ અહીં બે દિવસે એક વખત જ પીવાનું પાણી આવતુ હતુ. જોકે અમે સત્તામાં આવ્યા બાદ દરરોજ પાણી વિતરણ શરૂ કરાવવામાં આવ્યું છે. 'નવી આંગણવાડીઓ બનાવવામાં આવે તો જરૂરી'જ્યારે જૂના ગણેશનગરમાં રહેતા ધર્મેશ કીહોરે જણાવ્યુ હતુ કે, ભાજપના પાંચ વર્ષના શાસનમાં રસ્તા, પાણી અને ભૂગર્ભની સમસ્યાનો નિકાલ થયો છે. કોંગ્રેસના શાસનમાં મેટલનું એક પણ ટ્રેક્ટર આવ્યુ નથી. જ્યારે ભાજપના શાસનમાં તમામ રસ્તાઓ પર ડામર પથરાઈ ગયો છે. સૌ પ્રથમ DI પાઇપલાઇન નાખવાનું વોર્ડ નંબર 18થી શરૂ થયું. અહીં કોઠારીયા ચોકડી બ્રિજનો પ્રશ્ન હતો પરંતુ તે પણ અહીંના કોર્પોરેટરો અને ધારાસભ્યની રજૂઆતથી દૂર થઈ જશે. આ ઉપરાંત અહીં નવી આંગણવાડીઓ બનાવવામાં આવે તો જરૂરી છે. 'એક લાઇબ્રેરી બનાવવામાં આવે તે જરૂરી છે'કોઠારીયા ચોકડી પાસે રહેતી યુવતી દેવાંશી મકરાણીયાએ જણાવ્યું હતું કે, હું સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. હું આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ. હું ઇચ્છું છું કે હાલ અહીં જે ભાજપના કોર્પોરેટર છે તે જ આગામી ચૂંટણીમાં જીતે અને કોર્પોરેટર બને. જ્યારે આજ વિસ્તારમાં રહેતા ગીતાબેન ડોબરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા નવા બન્યા છે અને પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. અહીં વાહન પાર્કિંગનો પ્રશ્ન છે. ખરાબાનો પ્લોટ મળે તેવી માંગ છે. 'રસ્તા અને પાણીની સમસ્યાનું નિરાકરણ થયેલુ છે'આ ઉપરાંત એડવોકેટ વિશાલ જોશીએ જણાવ્યું હતુ કે, વોર્ડ નંબર 18માં ભવનાથ પાર્કમાં રહું છું અને કોઠારીયા રોડ ઉપર જ મારી ઓફિસ આવેલી છે. અહીં છેલ્લા 25 વર્ષથી રહું છું. રસ્તા અને પાણીની સમસ્યાનું નિરાકરણ થયેલુ છે. હાલના ભાજપના ચારેય કોર્પોરેટરોએ કોઈપણ કામ હોય ત્યારે હાજર રહી તત્કાલ કામો પૂર્ણ કરાવ્યા છે. હાલ અહીં સૂચિત મકાનો ઘણા બધા છે. જેથી અહીંના કોર્પોરેટરો અને ભાજપ સરકાર તમામ સૂચિત મકાનો રેગ્યુલરાઈઝ કરાવી આપે તે જરૂરી છે. જેથી સૂચિત ન પ્રશ્ન દૂર થઈ જાય. કોઠારીયા ચોકડી પાસે ટ્રાફિક અને રસ્તાનો પ્રશ્ન છે તે આગામી સમયમાં દૂર થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.
બા, અમે જઇએ છીએ...આ શબ્દો પામુબેન માટે છેલ્લા સાબિત થશે એવી કોઇએ કલ્પના પણ નહોતી કરી. ભાવનગરમાં નોકરી કરતા દીકરાએ વ્હાલથી દીકરી-જમાઇને બાની ખબર કાઢવા મોકલ્યા હતા પણ એ જ મુલાકાત જીવલેણ સાબિત થઇ. નજીવી રકઝક, પત્નીને પિયરમાં ન રોકાવા દેવાની જીદ અને પછી પડેલો એક લાફો.... કેવી રીતે એક ક્ષણના આવેશે દીકરીને તેના જ પિતા સામે ગુનેગાર બનાવી દીધી? વાંચો, ગુજરાતના ગામડાંથી ચંદીગઢ સુધી લંબાયેલા ગુનાની વાત આજની ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં. પ્રેમ, તિરસ્કાર અને બદલાની રૂંવાડા ઊભા કરી દેતી સત્ય ઘટનાના મુખ્ય પાત્રો આ છે. પામુબેનઃ જેની હત્યા થઇ તે વૃદ્ધા જોરૂભાઇઃ પામુબેનના પુત્ર નીકિતાઃ જોરૂભાઇની પુત્રી મુમણઃ નીકિતાનો પતિ અત્યારનો 112 નંબર ત્યારે હજુ 100 નંબર હતો. કોઇએ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું.... 'સાહેબ, ગોરાડના બેલદારવાસમાં એક ડોસીમાની હત્યા થઇ છે, જલ્દી આવો.' કન્ટ્રોલ રૂમમાંથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનને જાણ કરાઇ. તારાપુરના PI કે.ડી.બ્રહ્મભટ્ટ રજા પર જવાની તૈયારી કરતા હતા ત્યાં તેમને ખબર પડી કે તેમના પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં આવો બનાવ બન્યો છે. નાનકડાં ગામમાં હત્યા થતાં પીઆઇ બ્રહ્મભટ્ટે પોતાનો પ્લાન બદલી દીધો. તેમણે વાન ઘર તરફ વાળવાના બદલે ગોરાડ ગામ તરફ વાળવાનો આદેશ આપ્યો. ગામમાં એક્ઝેટ કઇ જગ્યાએ જવાનું છે તેની ખબર નહોતી પણ બેલદારવાસમાં એક ઘર પાસે ભીડ જામી હતી. વાનના ડ્રાઇવરે સ્ટિયરિંગને ભીડની દિશામાં વાળ્યું. ઘરની બરાબર સામે જ જઇને વાન ઊભી રહી. તેમાંથી પોલીસ ઉતરીને ભીડને ચીરતી ઘરમાં પ્રવેશી. ઘરમાં જઇને જોયું તો વૃદ્ધાની લાશ નીચે જમીન પર પડેલી હતી. મૃતકની ઉંમર અંદાજે 60 વર્ષ હશે. માથામાંથી લોહી નીકળતું હતું. ઘરમાં બધી વસ્તુઓ તેની જગ્યાએ સહી સલામત પડી હતી, કશું જ અસ્તવ્યસ્ત નહોતું એટલે પોલીસને એટલો તો ખ્યાલ આવી ગયો કે ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની શક્યતા બહુ ઓછી છે. ઘરમાં બીજું કોઇ હાજર નહોતું. પોલીસે રૂટિન કાર્યવાહી શરૂ કરી ત્યાં જ એક પોલીસકર્મીની નજર વૃદ્ધાના હાથ પર પડી. હાથની એક આંગળી છૂટી પડી ગયેલી હતી અને બીજી ચગદાયેલી હાલતમાં હતી. પોલીસે ઘરની બહાર ઊભેલી ભીડ અને આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી. સૌથી પહેલાં તો વૃદ્ધાના પરિવાર અંગે જાણવું જરૂરી હતું એટલે તેવા જ સવાલો પૂછવાનું ચાલુ કર્યું. પૂછપરછમાં ખબર પડી કે મૃતકનું નામ પામુબેન છે અને તેમને જોરૂભાઇ નામનો 43 વર્ષનો એક દીકરો છે. જે ભાવનગરમાં નોકરી કરે છે. જો કે પોલીસ પહેલાં કોઇએ જોરૂભાઇને જાણ કરી દીધી હતી. જેથી તે પણ ભાવનગરથી તારાપુર આવવા નીકળી ગયો હતો. જોરૂભાઇની પત્નીનું અવસાન થઇ ગયું હતું. તેને સંતાનમાં નીકિતા નામની એક દીકરી હતી. જોરૂભાઇએ પત્નીની ગેરહાજરીમાં જ નીકિતાને લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી અને પાંચેક વર્ષ પહેલાં તેના લગ્ન ધોળકાના ત્રાસદ ગામે રહેતા મુમણ બેલદાર ઉર્ફે બોઘા સાથે કરાવ્યા હતા. નીકિતાના એક કાકા પણ હતા. જેની સાથે મુમણની બહેનના લગ્ન સાટા પદ્ધતિમાં થયા હતા. આમ મુમણની બહેન નીકિતાની નણંદ હોવા ઉપરાંત સગી કાકી પણ થતી હતી. નીકિતાને પતિ મુમણ સાથે સારૂં બનતું હતું પણ નીકિતાના કાકા-કાકીને એટલું સારૂં નહોતું બનતું. બન્ને વચ્ચે કોઇને કોઇ કારણોસર ઝઘડા થતાં રહેતા હતા જેથી નીકિતાના કાકી સાસરૂં છોડીને પોતાના ભાઇ મુમણ સાથે પિયરમાં જ રહેતી હતી. નીકિતાનો પરિવાર તેને ઘણીવાર કહેતો કે તારા કાકી આપણી સાથે નથી રહેતા તો પછી તુ પણ કેમ મુમણ સાથે રહે છે? તુ તેને છોડીને અહીં રહેવા આવતી રહે. જો કે નીકિતા મુમણને છોડવા તૈયાર નહોતી. તે પરિવારની વાતને બહુ ધ્યાને નહોતી લેતી. તારીખઃ 15 એપ્રિલ, 2025સમયઃ સવારે અંદાજે 11:45 મુમણ અને નીકિતાએ જોરૂભાઇને ખબર અંતર પૂછવા ફોન કર્યો હતો. સામાન્ય વાતચીત થયા બાદ જોરૂભાઇએ પોતાના મમ્મી પામુબેન (નીકિતાના દાદી)ની તબિયત સારી રહેતી ન હોવાનું કહ્યું હતું. જોરૂભાઇઃ નીકિતા બેટા, ગોરાડ જઇને બાની ખબર કાઢતી આવજે.નીકિતાઃ હા, પપ્પા અમે લોકો જઇ આવીશું. પપ્પાએ આ રીતની વાત કરતાં નીકિતાએ મુમણને પૂછ્યું..... નીકિતાઃ આપણે ગોરાડ જઇએ? પત્નીની આ વાત મુમણ ટાળી ન શક્યો. તેણે તરત જ હા પાડી દીધી. આના પછી નીકિતા અને મુમણ ત્રાસદથી ગોરાડ જવા નીકળ્યાં હતા. બન્ને ગામ વચ્ચેનું અંતર અંદાજે 54 કિલોમીટર થાય. લગભગ બપોરે 3:30 વાગ્યા પહેલાં તો બન્ને ત્યાં પહોંચી ગયા હતા. ઘરમાં ચા-પાણી પીવાયા, ખબર-અંતર પૂછાયા. પામુબેને દીકરા જોરૂભાઇને ફોન કર્યો અને નીકિતા-મુમણ ઘરે આવ્યા હોવાની જાણ કરી હતી. જોરૂભાઇએ માતા પામુબેનને કહ્યું કે હવે આપણે નીકિતાને ઘરે જ રાખીશું. તેને મુમણ સાથે સાસરીમાં પાછી નથી જવા દેવી. પામુબેને દીકરાની વાત સાંભળી, હા પાડીને ફોન કટ કર્યો. તેઓ જાણતા હતા કે આ વાત મુમણને કહેશે એટલે ઝઘડો શરૂ થઇ જશે. પામુબેન અને દીકરા જોરૂભાઇ વચ્ચે થયેલી વાતચીતથી નીકિતા અને તેનો પતિ મુમણ અજાણ હતા. તેમને ખબર નહોતી કે નીકિતાને પિયરમાં જ રોકી દેવાની પ્લાન ઘડાઇ રહ્યો છે. હવે સાંજ થવા આવી હતી. મુમણે ઊભા થતાં કહ્યું, ચાલ નીકિતા, હવે નીકળીએ. રાત પડી જશે તો ત્રાસદ પહોંચતા મોડું થશે. પતિની વાત સાંભળી નીકિતાએ બા પાસે રજા માંગી. નીકિતાઃ બા, અમે જઇએ છીએ. રાત પડતાં પહેલાં ઘરે પહોંચી જઇએ તો સારૂ.પામુબેનઃ બેટા, મારી તબિયત ખરાબ છે. તુ રોકાઇ જાને. નીકિતા અસમંજસમાં હતી. એક તરફ બીમાર દાદી હતા અને બીજી તરફ પતિ મુમણ હતો. નીકિતાઃ ના, બા. અમે જઇએ છીએ. પછી આવીશું નિરાંતે. નીકિતાનો આ જવાબ સાંભળીને પામુબેનના હૈયાની વાત હોંઠ પર આવી ગઇ. થોડા ગુસ્સા સાથે તેઓ બોલ્યા. 'તારી કાકી આપણા ઘરે ઓછી અવર જવર કરે છે તો પછી હવે તુ શું કામ ત્યાં જાય છે?' દાદીના સવાલના જવાબમાં નીકિતાએ ફરીથી ના પાડી. જેના પછી પામુબેન, નીકિતા અને મુમણ વચ્ચે રકઝક ચાલુ થઇ ગઇ. નીકિતા અને મુમણ ઘરે જતાં રહેવા માંગતા હતા પણ પામુબેન કોઇપણ ભોગે નીકિતાને રોકી રાખવા માંગતા હતા. પામુબેનને અંદાજો આવી ગયો કે બન્ને ગમે તેમ કરીને જતાં રહેશે એટલે બાજી હાથમાંથી જતી જોઇને તેમણે તરત જ જોરૂભાઇને ફોન લગાવ્યો અને કહ્યું... 'જમાઇ નીકિતાને અહીંયા ઘરે રહેવાની ના પાડે છે.' પામુબેનની વાત સાંભળીને જોરૂભાઇએ મુમણને ફોન આપવા કહ્યું. જોરૂભાઇઃ જમાઇ, નીકિતા ભલે અમારે ઘરે રહેતી. તમે પણ આજની રાત રોકાઇ જાઓ. 1-2 દિવસ પછી નીકિતાને તેડી જજો. મુમણઃ ના એવું શક્ય નથી. હું નીકિતાને મારી સાથે લઇ જઉં છું. આટલું કહીને મુમણે ફોન પામુબેનના હાથમાં પકડાવી દીધો. આ તરફ ફોન ચાલુ હતો અને બીજીતરફ પામુબેન અને મુમણ વચ્ચે રકઝક ચાલુ થઇ ગઇ. જોરૂભાઇ ફોન પર આ બધું સાંભળી રહ્યા હતા. આ રકઝક એવા અંજામ સુધી પહોંચવાની હતી જે કલ્પનાતિત હતી. આ ઘટનામાં આગળ શું-શું થયું તે જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
આજવા રોડ પર આવેલા આરએમએસ પોલિટેક્નિકમાં રોજગાર કચેરી સાથે મળી મેગા જોબ ફેર 2026 યોજાયો હતો. જેમાં 389 ઉમેદવારોને નોકરીની ઓફર અપાઈ હતી. આ મેળામાં 35 કંપની જોડાઈ હતી અને 1 હજારથી વધુ જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એલેમ્બિક, વોલ્ટાસ, એમઆરએફ ટાયર્સ, એપોલો ટાયર્સ, યુપીએલ, પીવીઆર આઇનોક્સ અને સ્નાઇડર જેવી કંપનીએ ઈન્ટરવ્યુ લીધાં હતાં. રોજગાર કચેરીના અધિકારીએ કહ્યું, ‘ઉમેદવારોને એક સ્થળે અનેક વિકલ્પો મળે તે હેતુથી આ મેળો યોજાયો.’ આ મેળામાં 700થી વધુ આઇટીઆઇ, ડિપ્લોમા અને ડિગ્રી ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ નવી દિલ્હીના નેજા હેઠળ વિશ્વ હોમિયોપેથી અઠવાડિયું 2026 તથા હોમિયોપેથીના સ્થાપક ડૉ.સેમ્યુઅલ હનેમાનની 271મી જન્મ જયંતીની ઉજવણી 1થી 6 એપ્રિલ દરિમયાન વડોદરા અને એની આસપાસની તમામ કોલેજો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હોમિયોપેથી જાગરુકતા રેલીનો પ્રારંભ સયાજીબાગ સામે ધન્વંતરિની પ્રતિમાથી થયો હતો અને સમાપન ફતેહગંજ ખાતે હનેમાન માર્ગ પર આવેલી હનેમાનની પ્રતિમા પાસે થયું હતું. અંતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સ્થાપના 7 એપ્રિલ, 1985ના રોજ પોરબંદર ખાતે થઈ હતી. સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચે તે આ કસોટીનો મુખ્ય હેતુ છે. સામાન્ય રીતે ઇતિહાસ વાંચવામાં લોકો ઓછી રુચિ દાખવતા હોય છે, પરંતુ કસોટીના માધ્યમથી લોકો હોંશે હોંશે ઇતિહાસ વાંચે તેવો પ્રયાસ કરાયો હતો. દેશ માટે બલિદાન આપનાર વીર પુરુષો અને વીરાંગનાઓના ગુણો નવી પેઢી પોતાના જીવનમાં ઉતારે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં આ કસોટી યોજાઈ હતી. રાજ્યના 14 જિલ્લાના 20 કેન્દ્રો પર એક જ સમયે આ પરીક્ષા લેવામાં આવી હતી. વડોદરામાં ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડના સહકારથી મનુભાઈ ડેન્ટલ કોલેજ ખાતે પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ કસોટીને સફળ બનાવવા પ્રદેશ કન્વીનર દિગ્વિજયસિંહ ઝાલા, રુદ્રદત્તસિંહ વાઘેલા તેમજ વડોદરા રાજપૂત સમાજના અગ્રણી વિક્રમસિંહ મહારાઉલજી બાપુના માર્ગદર્શનમાં ટીમ કાર્યરત રહી હતી. આ ઉપરાંત કન્વીનર જીતેન્દ્રસિંહ વાઘેલા, સહ-કન્વીનર પ્રણવસિંહ ચૌહાણ, કાશ્મીરાબા જાડેજા, મમતાબા ઝાલા, મહિલા સંઘના અધ્યક્ષા દશરથબા પરમાર અને વડોદરાના પ્રમુખ વિરેન્દ્રબા મહારાણા સહિતના હોદ્દેદારોના સહયોગથી ઇતિહાસને જીવંત રાખતી આ કસોટી સંપન્ન થઈ હતી. કેવા સવાલો પૂછાયા?સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રજવાડા કયા છે?, રાજપૂત સમાજના ગોત્ર અને કુળદેવીના નામ જણાવો, રાજપૂત સમાજના ત્રણ સંગઠનોના હોદ્દેદારો અને તેમના વિશેની માહિતી આપો જેવા સવાલો પૂછાયા હતા. ઉલ્લેખનીય છે કે, કુલ 100 ગુણની આ પરીક્ષામાં 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રજવાડાઓમાં વડોદરા, કચ્છ અને નવાનગરનો સમાવેશ થાય છે તેવો પ્રશ્ન પણ પૂછાયો હતો. જ્ઞાન કસોટીમાં 13થી 75 વર્ષના 130 સ્પર્ધકોએ ભાગ લીધોરાજપૂત સમાજના ઇતિહાસ પ્રત્યેનો ઉત્સાહ સમાજના લોકોમાં અકબંધ જોવા મળ્યો હતો. સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ ઐતિહાસિક કસોટીમાં 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 13 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વૃદ્ધ સુધીના તમામ વયજૂથના લોકોએ પરીક્ષા આપી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સ્થાપના દિને વડોદરા સહિત 20 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ
આવકવેરા વિષયક સેમિનાર યોજાયો:ભાગીદારને 20 હજારથી વધુની ચૂકવણી કરાય તો 10 ટકા TDS કાપવો ફરજિયાત
ગુજરાત કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન દ્વારા સયાજીગંજના વાકળ સેવા કેન્દ્ર ખાતે આવકવેરા વિષયક સેમિનાર યોજાયો હતો. શનિવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાયેલા આ સેમિનારમાં 150થી સભ્યો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિયુષ શાહે આવકવેરા રિટર્ન ફાઈલિંગ સીઝન 2025-26 માટેની તૈયારી, વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ રિટર્ન ભરતી વખતે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને આઇટીઆર ફોર્મ નંબર 1 થી 7માં કરવામાં આવેલા ફેરફારો અને રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અંગે તેમણે માહિતી આપી હતી. વક્તાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ભાગીદારી પેઢી ટેક્સના નિયમોનું પાલન નહીં કરે, તો ભાગીદારોને ચૂકવેલું વેતન કે બોનસ પેઢીની આવકમાં ઉમેરી દેવામાં આવશે. જો ભાગીદારને 20,000 રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવે તો 10 ટકા ટીડીએસ કાપવો ફરજિયાત છે. નિયમભંગની સ્થિતિમાં દરરોજ 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સભ્ય મનુભાઈ વાગેલા, ભાસ્કર પટેલ, પ્રમુખ દીપક અમીન, સેક્રેટરી ધર્મેશ ગાંધી અને ટ્રેઝરર મનીષ શાહ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 150થી વધુ સભ્યો અને સ્ટાફે આ સેમિનારનો લાભ લીધો હતો.
તંત્ર સામે આક્રોશ:સંજયનગરનાં 1841 લાભાર્થીને 9 વર્ષે મકાનો ન મળ્યાં, મહિલાઓનો મોરચો
વારસિયા રિંગ રોડના સંજયનગરનાં 1841 ઝૂંપડાં તોડી ત્યાં 18 મહિનામાં મકાન આપવાની પાલિકાની બાંહેધરી 9 વર્ષે પણ હવામાં છે. લાભાર્થીઓએ પાલિકામાં મોરચો લઈ જઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને 46 મહિનાનું ભાડું ચૂકવવા માગ કરી હતી. હાઇકોર્ટનો 36 મહિનામાં મકાનો બનાવી આપવાનો આદેશ પણ પાલિકા તંત્ર ઘોળીને પી ગયું હોવાના આક્ષેપ રહીશોએ કર્યા છે. 2017માં વારસિયા રિંગ રોડના સંજયનગરનાં 1841 મકાન તોડી 18 મહિનામાં મકાન આપવા અને 2 હજાર ભાડું ચૂકવવાનું નક્કી થયું હતું. જોકે દોઢ વર્ષને બદલે 9 વર્ષ થવા છતાં હજી 50% કામ થયું હોવાની ફરિયાદ થઈ છે. લાભાર્થી સીમા રાઠોડે કહ્યું કે, કોર્ટે 36 માસમાં મકાન બનાવી આપવા હુકમ કર્યો હતો. ઓક્ટોબરમાં સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને હજી 50% જ કામ થયું છે ભાસ્કર ઇનસાઇડકોર્ટે લાભાર્થીઓ તરફે ચુકાદો આપ્યો અને જશ ખાટવા વોર્ડ નં.6ના કાઉન્સિલરો દોડી ગયા હતાલાભાર્થીઓએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, કોર્ટે લાભાર્થી તરફે ચુકાદો આપી 36 મહિનામાં કામ પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. કેસ લાભાર્થી લડ્યા હતા, જ્યારે જશ ખાટવા વોર્ડ 6ના કાઉન્સિલર હેમિશા ઠક્કર, ડો.શીતલ મિસ્ત્રી સહિતે ફટાકડા ફોડી હાર-તોરા કર્યા હતા. જમીન ક્લીયર કર્યા વિના અધિકારીઓએ ડહાપણ કર્યું અને યોજનામાં વિલંબ થયોસંજયનગરમાં ઝૂંપડપટ્ટી હટાવી પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ બાંધવાનું નક્કી થયું હતું. પાલિકાના બાહોશ અધિકારીઓએ જમીનનો સરવે કર્યા વિના 1841 ઝૂંપડાં તોડી પાડ્યાં હતાં. ત્યારબાદ ડેવલપરને જમીન આપવાનું નક્કી થયું તે વખતે જમીનમાં ભીક્ષુગૃહની જગ્યા સહિત 1 કરતાં વધુ સર્વે નંબર નીકળ્યા. જે જમીનને ક્લીયર કરતાં 5 વર્ષ થયા. એટલું જ નહીં 18 માસમાં તૈયાર થનારાં મકાનોનું બાંધકામ હજી 50% જ પૂર્ણ થયું છે અને લાભાર્થીને હજી 1 વર્ષ રાહ જોવી પડે તેવી શક્યતા છે. અધિકારીઓની બેજવાબદારીથી 1841 પરિવાર 9 વર્ષથી રઝળી રહ્યાં છે.
પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા 20 એકમમાં ચેકિંગ કર્યું હતું. જેમાં લીધેલા નમૂના પૈકી 4 નમૂના ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટમાં ફેલ જાહેર થયા છે.બીજી તરફ રેસકોર્સ સહિત 125 સ્થળ પર પનીર-ચીઝનું ચેકિંગ કરાયું હતું, જેમાં ‘એનાલોગ’નો ઉલ્લેખ ન કરનાર 7 એકમને નોટિસ આપી છે. પાલિકાએ કરેલી કાર્યવાહીમાં માંજલપુર સ્થિત રિલાયન્સ રિટેઇલ લિમિટેડમાંથી લીધેલા ચણા દાળનો નમૂનો ‘અનસેફ’ જાહેર થયો છે. ઉપરાંત વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ ફુડ્સમાંથી બેસન, હાથીખાનાના શ્રી માધવ ટ્રેડર્સમાંથી હળદર પાઉડર અને છાણી રોડ પરના ગોકુલ ટ્રેડર્સમાંથી પનીરના નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ (હલકી ગુણવત્તાના) જાહેર થયા છે. તમામ વેપારી વિરુદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. ખોરાક શાખાએ કારેલીબાગ, માંજલપુર, અટલાદરા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી મસાલા, બેસન, ચણાદાર, પનીર, આઇસક્રીમ, માવો, દાબેલી, રોટી, શાક સહિત 45 નમૂના મોકલ્યા હતા. તપાસમાં એકમોમાં ગંદકી અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ જણાતાં સંયુક્ત રીતે રૂા.58,500નો દંડ ફટકાર્યો છે. વાઘોડિયા રોડના વ્રજ ફુડ્સનું બેસન,હાથીખાનાના માધવ ટ્રેડર્સની હળદર,છાણીના ગોકુલ ટ્રેડર્સનું પનીર સબ સ્ટાન્ડર્ડ એનાલોગનો ઉપયોગ કરાતો હોય તો ગ્રાહકોને દેખાય તે રીતે મેનૂ કાર્ડ અે ડિસ્પ્લે બોર્ડ પર ઉલ્લેખ અનિવાર્યહોટલ-રેસ્ટોરન્ટમાં શુદ્ધ પનીર કે ચીઝના નામે વનસ્પતિ ફેટમાંથી બનેલા ‘એનાલોગ’ પદાર્થ પીરસતાં એકમો પર તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટીમે રેસકોર્સ, ઓલ્ડ પાદરા રોડ, ફતેગંજ અને વાસણા-ભાયલી રોડ સહિતના વિસ્તારોમાં 125 એકમનું ચેકિંગ કર્યું હતું. નિયમ મુજબ એનાલોગ પદાર્થનો ઉપયોગ થતો હોય તો મેનુ કે ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જેનું ઉલ્લંઘન કરનાર 7 એકમને શિડ્યુલ-4 મુજબ નોટિસ ફટકારી છે.
એસએસજીમાં રક્ત વિતરણમાં વધારો:છેલ્લા 1 વર્ષમાં 27,445 યુનિટ રક્ત દર્દીઓને અપાયું
સયાજી હૉસ્પિટલની બ્લડ બેંકમાં વર્ષ 2022થી 2025 સુધીનાં 4 વર્ષમાં રક્ત વિતરણમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં દર્દીઓને કુલ 25,718 યુનિટ રક્ત અપાયું હતું, જ્યારે 2025માં 27,445 યુનિટ રક્ત અપાયું હતું. જનની-શિશુ સુરક્ષા યોજના હેઠળ પ્રસૂતાને અપાતા રક્તમાં 70 ટકાનો વધારો થયો છે. જેમાં 2022માં 5560 યુનિટ રક્ત પ્રસૂતાને અપાયું હતું, જ્યારે 2025માં આ આંક 9446 યુનિટ થયો છે. સાથે સિકલસેલના દર્દીઓને અપાતા રક્ત પણ 3 ગણો વધારો થયો છે. હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીને પરિસરમાં જ રક્ત મળતાં તેઓને બહાર જવાની જરૂર પડતી નથી, જેને કારણે તેમનો સમય બચે છે અને દર્દીઓને ઝડપી અને સમયસર સારવાર મળી રહે છે. સિકલસેલ એનીમિયાથી ગ્રસ્ત દર્દીઓ માટે રક્ત વિતરણમાં છેલ્લાં 4 વર્ષમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2022માં 518 યુનિટ રક્ત દર્દીઓને આપવામાં આવ્યું હતું, જ્યારે 2025માં આ આંકડો વધીને 1672 યુનિટ પર પહોંચ્યો હતો. થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને અમુક સમયના અંતરે બ્લડ ચડાવવાનું રહેતું હોય છે. સયાજી હૉસ્પિટલની બ્લડ બેંક દ્વારા 2025માં 1086 યુનિટ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યું હતું. ઉપરાંત જરૂરિયાતને સમયે લોકોને રક્ત મળી રહે તે માટે હૉસ્પિટલ દ્વારા અવાર-નવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. 2024માં 118 બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાં 16,058 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. જ્યારે 2025માં 177 કેમ્પ યોજાતાં 16,422 યુનિટ બ્લડ એકત્ર થયું હતું. વર્ષ પ્રમાણે રોગ દીઠ આપવામાં આવેલા રક્ત યુનિટ 2025માં 16,422 યુનિટ રક્ત એકત્ર થયું
વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વચ્ચે શહેરીજનોનું આરોગ્ય બગડી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. હવામાં ભળતું આ ઝેર માત્ર ફેફસાં સુધી સીમિત રહ્યું નથી, પરંતુ તે પેટ-કિડની જેવા અંગોને પણ અસર કરે છે. શહેરમાં વધતાં વાહનો અને ઠેર ઠેર થતાં બાંધકામોથી ઊડતી ધૂળ અને ધુમાડાથી હવાની ગુણવત્તા બગડી છે. આ અંગે પલ્મોનોલોજિસ્ટ ડૉ. અમિત દવેએ જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષોમાં એવું જોવા મળતું હતું કે, શિયાળામાં થતી શરદી અને ખાંસી માર્ચ મહિના સુધીમાં પૂરી થઈ જતી હતી. જોકે આજના સમયમાં શરદી, ખાંસી અને ગળાના સંક્રમણના કેસ 40 ડિગ્રી તાપમાનમાં પણ યથાવત્ જોવા મળી રહ્યા છે. હવાના પ્રદૂષણને કારણે ભરઉનાળામાં પણ શરદી અને ખાંસીના દર્દીઓ આવી રહ્યા છે, જે ચિંતાજનક સ્થિતિ છે. હવામાં રહેલા સૂક્ષ્મ કણો રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી રહ્યા છે, જે લાંબાગાળે ગંભીર બીમારીઓ નોંતરે છે. ડૉ.દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, બગડી રહેલી હવાની ગુણવત્તાથી ફેફસાંના રોગ વધી રહ્યા છે, સાથે પેટ અને કિડનીની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. બગડી રહેલી હવાની ગુણવત્તા માનવ શરીરની 3 મુખ્ય સિસ્ટમ જેવી કે શ્વસન તંત્ર, પાચન તંત્ર અને કિડની પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે. જોકે આ કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે તે લાંબાગાળે ખબર પડશે. જેન-ઝીમાં શ્વસન તંત્રને લગતા રોગોનું પ્રમાણ વધ્યુંજેન-ઝીમાં શ્વસન સંબંધી સમસ્યા અને એલર્જીના રોગો વધુ જોવા મળે છે. વ્યક્તિનું શ્વસન તંત્ર 18 વર્ષ સુધી વિકસિત થાય છે. કેટલાંક વર્ષોથી હવાની ગુણવત્તા બગડી રહી છે. જેથી શ્વસન તંત્ર પર અસર થઈ રહી છે. પરિણામે એલર્જીના રોગો વધ્યા છે. ઓપીડીમાં આવતા દર 5માંથી 2 યુવાન શ્વાસની તકલીફ કે ફેફસાંની નબળાઈની ફરિયાદ સાથે આવે છે. વહેલી સવારે ખુલ્લામાં કસરત કરવી હિતાવહ નથીસામાન્ય રીતે લોકો માને છે કે, વહેલી સવારે ખુલ્લામાં કસરત-યોગ કરવા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે, પણ તેવું નથી. મોડી રાત સુધી બાંધકામ ચાલતું હોય છે, વાહનો દોડતાં હોય છે. જેને કારણે હવામાં પ્રદૂષણ ફેલાતું રહે છે.વહેલી સવારે પ્રદૂષિત કણો જમીનની સપાટીની નજીક હોય છે. કસરત દરમિયાન આપણે સામાન્ય કરતાં વધુ ઝડપથી શ્વાસ લઈએ છીએ, જેનાથી ઝેરી હવા સીધી ફેફસાંમાં ઊંડે સુધી ઊતરે છે.
વિરોધ:કડિયાવાડ બંધ, ધારાસભ્ય પહોંચતા આંદોલન સમેટાયું
જૂનાગઢના કડિયાવાડમાં બે દિવસ પહેલા એક જર્જરિત મકાનની છતનો પોપડો પડતા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ 3 વર્ષ પહેલાની એ કાળઝાળ યાદો તાજી કરી દીધી છે, જેમાં આખેઆખી બિલ્ડીંગ ધરાશાયી થતા 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બંને દુર્ઘટના પછી પણ પાલિકાએ ગંભીરતા દાખવી નથી. તાજેતરમાં મહિલા ઇજાગ્રસ્ત થયા બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તેના પગલે સોમવારે કડીયાવાડ બંધ રાખવામાં આવ્યુ હતુ. સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રોડ પર ઉતરીને આંદોલનના મંડાણ કર્યા હતા. આ આંદોલનમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડીયા મેદાનમાં આવ્યા. તેમણે પોતાની જ પક્ષની સત્તા હેઠળની મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોર્પોરેશનની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યાં રોડ ખોદી નાખવા અને પછી તેને સમયસર રિપેર ન કરવા એ મોટી ભૂલ છે. ધારાસભ્યના આ આક્રમક વલણ બાદ આંદોલન ભલે સમેટાઈ ગયું હોય, પરંતુ રાજકીય ગરમાવો વધી ગયો છે.
ઇઝરાયલ અમેરીકા અને ઇરાનના યુદ્ધને કારણે હાલ ગેસના બાટલાની સપ્લાયમાં સરકારે થોડા નિયમમાં ફેરફાર કર્યો છે. જેને કારણે રેસ્ટોરેન્ટમાં પુરતો ગેસનો જથ્થો મળી શકતો ન હોવાથી ધંધા પર અસર જોવા મળી છે. કોઇક રેસ્ટોરેન્ટમાં થોડો ભાવ વધારો થયો છે તો ક્યાંક જે મેનુ હતુ તેમાંથી અડધી વાનગીઓ બનાવવાની બંધ કરી છે. ઉપરાંત અનેક રેસ્ટોરેન્ટોમાં સગડીમાં રસોઇ બનાવવાનુ શરૂ થયુ છે. ઉપરાંત કોમર્શિયલમાં ઘરેલુ સિલિન્ડરનો વપરશ નહીં થઇ શકેના નિયમથી સમસ્યા વધુ વિકટ બની છે. હાલ હોટેલમાં કઇ-કઇ હાલાકી ઉભી થઇ રહી છે તે જાણવા ભાસ્કરે હોટલ માલિકો સાથે વાતચીત કરી હતી. ગ્રાહકો ઘટતા ધંધાનો સમય ઓછો થયો હાલ યુદ્ધને કારણે ધંધામાં અસર થઇ છે. બોટલની કિંમતમાં વધારો થયો છે અને મળવી પણ થોડી મુશ્કેલ બની છે. જેને કારણે આઇટમના ભાવમાં થોડો વધારો કર્યો છે. જેને કારણે ગ્રાહકો પણ ઘટ્યા છે. અને અગાઉ જે 6 કલાકનો ધંધો હતો તે 4 કલાકનો થયો છે. સામે માલ પણ વધતા બગાડ થઇ રહ્યો છે. > ધવલ ચાવડા, રેસ્ટોરેન્ટ માલિક ફરસાણ સહિતની આઇટમો ઓછીગુજરાતી થાળીમાં રોજ ફરસાણ સાથે અનેક આઇટમો પીરસવામાં આવતી હતી. પરંતુ હાલ યુદ્ધને કારણે ગેસની બોટલ મળવી મુશ્કેલ થતા હવે અમે ફરસાણ રોજીંદુ આપવાનુ બંધ કર્યુ છે, કઢીને દાળમાંથી કોઇપણ એક આઇટમ સહિતનુ મેનુ પણ ઓછુ કરવાની અમને ફરજ પડી છે. > ઝુલ્ફીકાર જારીયા, રેસ્ટોરેન્ટ માલિક સગડીમાં રસોઇથી વેઇટીંગ સમય વધ્યો હાલ કોલસાથી ચાલતી સગડી પર રસોઇ બનાવવાનુ શરૂ કર્યુ છે. આમાં ગેસ કરતા થોડી રસોઇ ધીમી બને અને સમય વધારે લાગે છે. એટલે રનીંગ દિવસોમાં જે ગ્રાહકોને 10 મિનિટમાં આઇટમ પીરસાઇ જતી તેમાં 20થી વધુ મીનીટ લાગે છે. એટલે ગ્રાહકોનો વેઇટીંગ સમય વધ્યો છે. > કાંતીલાલ લાખાણી, રેસ્ટોરેન્ટ માલિક સાઉથ ઇન્ડિયન જેવી 40 ટકા વાનગી બંધ રેસ્ટોરેન્ટમાં પંજાબી, સાઉથ ઇન્ડીયન, ચાઇનીઝ સહિતની તમામ આઇટમો રાખવમાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી સિલિન્ડરમાં મેળવવામાં જે રીતે મુશ્કેલી પડી રહી છે જેને કારણે વધારે ગેસનો વપરાશ થતો હોય તેવી સાઉથ ઇન્ડિયન, સીઝલર જેવી 40 ટકા વાનગી બંધ કરી છે. > અમિન કચ્છી, રેસ્ટોરેન્ટ માલિક
કોડીનાર થી ઊના સુધીના ચાલીસ કી.મી.ના ફોર ટ્રેક રોડનું કામ ચાલુ થયું તેને અગિયાર વર્ષ થયાં પણ હજુ અનેક કામો બાકી છે.જેને પૂર્ણ કરવામાં નેશનલ હાઇવેને કોઈ રસ નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.તેમજ ડોળાસા સર્વિસ રોડ અધૂરૂ છોડી દેવાયું છે પાકી ગટર માટે ખાડો કરી ગયા પછી કોઈ ડોકાતું નથી.પિક અપ સ્ટેન્ડ મુકાયા નથી.અને હવે ડોળાસા અડવી વચ્ચે વરસાદી પાણી ન નિકાલ માટે નાળા મૂકવાનું જણાવી ખાડા પાડી દીધા પણ કોઈ કાર્યવાહી નહીં થતા ખેડૂતોએ ખેતરમાં જવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ડોળાસા અડવી વચ્ચે ફોરટ્રેક રોડ ના કામ બાદ વરસાદી પાણી ન નિકાલની વ્યવસ્થાના અભાવે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણીનો વ્યાપક ભરાવો થવાથી ચોમાસુ પાક ને ભારે નુકશાન થઈ રહ્યું છે.આ બાબતે ખેડૂતોએ નાળા મૂકવાની માંગ કરતા હતા.તે અનુસંધાને બે માસ પૂર્વે નેશનલ હાઇવે ના કોન્ટ્રાકટર દ્વારા જેસીબી થી નાળા મૂકવા ખાડા તો પાડી દીધા પણ હજુ સુધી નાળા નહિ મુકાતા ખેડૂતો ને ખેતર માં જવા મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે.અને કામ પૂરું નહિ થાય તો આ વિસ્તાર ના ખેડૂતો ખેતર માં જઈ શકે તેમ નથી .ઉપરાંત વરસાદી પાણી નો નિકાલ પણ નહિ થઇ શકેઆ ગટર નું કામ યુદ્ધના ધોરણે પૂરી કરવા માં નહિ આવે તો અડવી ડોળાસા સુધી ના ત્રણ કી.મી માં વાવેતર જ કરવું મુશ્કેલ બની જશે.અને વાવેતર થશે તો તે નિષ્ફળ જવા ની સંભાવના વધારે છે. જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર ડામર ન હોવાનું બહાનુંજેતપુર-સોમનાથ ફોરટ્રેકને પણ થોડા દિવસ પહેલા ડામરથી મઢવામાં આવ્યો હતો પરંતુ હજુ સર્વિસ રોડના કામ પણ અધૂરા છે આ અંગે નેશનલ હાઇવેના કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે યુદ્ધના લીધે ડામર નથી જેથી કામ થઈ શકશે નહીં તેમજ હાલ ડીઝલ પણ મળતું નથી.આ અંગે નેશનલ હાઇવેમાં અધિકારીઓએ તપાસ કરવી જોઈએ. શાપુર ફાટકે લાઈટ નાંખવાની ના પાડીફોરટ્રેક પરના શાપુર ફાટકે સ્ટ્રીટ લાઈટની ખાસ જરૂરિયાત છે અને સ્થાનિક તંત્ર દ્રારા નેશનલ હાઇવેને રજૂઆત પણ કરવામાં આવી છે.પણ તેમના દ્રારા કહેવામાં આવે છે કે આ અમારી અંદરમાં ન આવે પી ડબ્લ્યુ ડીમાં આવે છે.
વાતાવરણ:હાલારમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 40 કિ.મી.ની ઝડપે પવન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે અડધા હાલારમાં કમૌસમી વરસાદ બાદ ફરી એકવાર માવઠાનુ સંકટ તોળાઇ રહયુ છે.રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.જેમાં જામનગર અને દેવભૂમિમાં 7મી એપ્રીલે પણ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.જે સાથે અમુક સ્થળોએ 40 કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવાઇ છે. જામનગર અને દેવભૂમિમાં ગત ગુરૂવારથી બે દિવસ સુધી પાંચ તાલુકામાં હળવા ભારે ઝાપટાથી દોઢ ઇંચ સુધીનો કમોસમી વરસાદ ખાબકયો હતો. જે બાદ વાતાવરણ સ્વચ્છ થતા છેલ્લા બે દિવસથી મહતમ તાપમાન ક્રમશ: વધ્યુ હતુ.જેમાં સોમવારે સતત બીજા દિવસે મહતમ પારો વધુ એક ડીગ્રી ઉંચકાયો હતો અને 33 ડિગ્રી પર સ્થિર થયો હતો.જયારે લઘુતમ પારો પણ એક ડિગ્રી વધી 23 ડિગ્રી રહયો હતો.પવનની ઝડપ પ્રત કલાક દશથી વીશ કિ.મી. રહેવા પામી હતી.ચૈત્ર માસમાં હજુ સુધી દનૈયા તપ્યા નથી, ત્યારે હાલાર સહિત રાજયના અમુક વિસ્તારોમાં સાતમી એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.જે સાથોસાથ 40 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યકત થઇ છે. ગત સપ્તાહે થયો તો પોણાથી દોઢ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે વરસેલા કમોસમી વરસાદે ખંભાળિયા ઉપરાંત દ્વારકા,કલ્યાણપુર પંથકમાં પોણાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસાવ્યો હોવાનુ સામે આવ્યુ હતુ.જામનગર સહિત લાલપુર વગેરે સ્થળોએ પણ હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
ફરિયાદ:મહિલા પાસેથી વ્યાજખોરે ઘરે ચેનની લૂંટ કરી ધમકી
જામનગરમાં વ્યાજંકવાદે માંથુ ઉંચક્યું છે, આઈજીના આદેશ બાદ ત્રણ જ દિવસમાં જામનગરમાં 4 ગુનાઓ નોંધાયા છે. ત્યારે શહેરમાં એક મહિલા પાસેથી સોનાના દાગીના પડાવી લીધા છતાં વધુ રૂ.5 લાખની પઠાણી ઉઘરાણી કરીને ઘરે આવીને સોનાના ચેનની લૂંટ કરીને ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના પ્રણામી સ્કુલ પાસે, હીંગળાજચોક, આશાપુરા સોસાયટીમાં રહેતા માધવીબેન જીતેન્દ્રભાઈ રાવલ (ઉ.વ.43) નામની વિપ્ર મહિલાએ એકાદ વર્ષ પહેલા આરોપી વિજય અરેડીયા (રે.ગાંધીનગર સાંઇબાબા મંદીર-જામનગર) પાસેથી 6 ટકાએ રૂ.3,40,000 વ્યાજે લીધા હતા. તેના બદલામાં આરોપીએ સોનાના દાગીના લઈ લીધા હતા. મહિલાએ દોઢ લાખ રુપિયા આરોપીને પાછા આપી દીધેલ હતા, અને બીજા આપવાના બાકી હતી. તેમ છતાં આરોપીઓ અવાર-નવાર મહિલાના ઘરે આવીને અપશબ્દો બોલીને વધુ રૂ.5 લાખની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ દરમિયાન વ્યાજખોર વિજય અરેડીયાએ મહિલાના ઘરે જઈને બળજબરીથી સોનાનો ચેઈન લઈ લીધો હતો અને મહિલાના દાગીના પાછા નહી આપીને ત્રાસ આપતો હતો. જે અંગેની ફરિયાદ પરથી પોલીસે આરોપીની શોધખોળ આરંભી છે.
ફરિયાદ:અમરેલીમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું
અમરેલી શહેરમાં રહેતી સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે યુવતીની માતાએ અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 22 માર્ચના રોજ સવારે 8 વાગ્યાના સમયગાળામાં ઉત્તર પ્રદેશનો રહેવાસી ગિર્જેશકુમાર ઉર્ફે હિમાંશુ ઉમેશ યાદવએ બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. યુવકે સગીરાનું અપહરણ કરી લેતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ ભાર ન મળતા આ અંગે સગીરાના પરિવારે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી શહેરમાં ભારે ચકચાર જાગી હતી.
શહેરમાં ગૌરવની લાગણી:અમરેલીના શિક્ષકનું સંશોધન પત્ર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયું
અમરેલીની અજમેરા સ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક, કવિ, લેખક અને પ્રકૃતિવિદ તરીકે ઓળખાતા કેતનભાઈ પ્રવીણચંદ્ર જોશીનું સંશોધન પત્ર તાજેતરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ થયું હતું. આ કોન્ફરન્સનું આયોજન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર તથા ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સંશોધન કાર્યથી શિક્ષણ ક્ષેત્રે તેમજ અમરેલી શહેર માટે ગૌરવની લાગણી વ્યાપી છે. અમરેલી અજમેરા સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન જોશી સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ પુસ્તકોના લેખક છે તેમજ પાંચ પુસ્તકોનું સંપાદન પણ કરી ચૂક્યા છે. તેમના વાર્તા, લલિત નિબંધ અને આસ્વાદ જેવા સર્જનો ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત સામાયિકો જેમ કે કવિતા, તમન્ના, પરબ, અખંડ આનંદ અને શબ્દસૃષ્ટિમાં સમયાંતરે પ્રકાશિત થતા રહે છે. ઉપરાંત તેમણે ગુજરાતના જાણીતા અખબારોમાં પણ કોલમ લખી છે. તેમજ કેટલાક મેગેઝીનમાં તેઓ સહ-સંપાદક તરીકે કાર્યરત છે. તેઓની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યકક્ષાએ બે વખત શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો છે. સાથેજ રેડિયો પર યુવવાણી કાર્યક્રમ તેમજ ટેલિવિઝન પર અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. તાજેતરમાં સંસ્કૃત ચિંતન કાર્યક્રમમાં તેમની પસંદગી થઈ હતી અને ફિલ્મ કલાકારો તથા લેખકોની બેઠકનું સફળ સંચાલન પણ તેમણે કર્યું હતું. તેમજ શિક્ષણ અને સાહિત્ય સાથે પ્રકૃતિ પ્રત્યે તેઓનો વિશેષ લગાવ છે. છેલ્લા 15 વર્ષથી તેઓ વિશ્વ સિંહ દિવસના સહ-કોર્ડિનેટર તરીકે કાર્યરત છે તેમજ નેચર કેમ્પોમાં રિસોર્સ પર્સન તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં રાજ્યકક્ષાની વાર્તા લેખન શિબિરમાં પણ તેઓની તજજ્ઞ તરીકે પસંદગી થઈ હતી. તેમના વિવિધ ક્ષેત્રોમાંના યોગદાનથી અમરેલી શહેર તથા સાહિત્ય જગતમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
ફરિયાદ:ડુંગરમાં ફોટા પાડવા જેવી બાબતે બે પક્ષ વચ્ચે અથડામણ: ત્રણ ઇજાગ્રસ્ત
રાજુલા તાલુકાના ડુંગર ગામે લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે અથડામણ સર્જાતા બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં એક વ્યક્તિને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ છે. ગઈકાલે વહેલી ડુંગર ગામે કુમાર શાળા-1 પાસે આ બનાવ બન્યો હતો. ડુંગર બહારપરા વિસ્તારમાં રહેતા સીકંદર યુનુસભાઇના મોટા બાપુના દીકરાના લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે સાજીદ દોસુભાઇ ગાહા અને અન્ય લોકો સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી તેઓ બાઇક લઈને નીકળ્યા ત્યારે તેઓને રસ્તામાં રોકી સાજીદ સહિત ત્રણ અન્ય શખ્સોએ ધરિયા , કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સિકંદરભાઈ અને તેના સાથી ઇજાગ્રસ્ત થયા હતા, જે અંગે ફરિયાદ આપી છે. સામા પક્ષે પણ સામા પક્ષે પણ સાજીદ દોસમહમદભાઇ ગાહાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી છે કે, તેમના કાકાના દીકરા તન્વીરભાઇના લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે સિકંદર અને દિલશાદ સાથે માથાકુટ થઈ હતી. જેમાં સિકંદર સહિત અન્ય ત્રણ લોકોએ પાઇપ, લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સિકંદર યુનુસભાઇ ગાહા, દિલશાદ યુનુસભાઇ ગાહા, શબ્બીર મકરાણી ઇન્તીયાઝ અબાભાઇ ગાહા તેમજ સાજીદ દોસુભાઇ ગાહા, ફારુક યુસુફભાઇ ગાહા, ફીરોજ યુસુફભાઇ ગાહા, સમદ દોસુભાઇ ગાહા મળી પોલીસે બંને પક્ષના કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રૂા.1175 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી:લાઠીમાં યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ સીઝનમાં ચણાનું સારો પાક થતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં ખેડૂતોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધણી બાદ આજે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી દેવાય છે. ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વજુભાઈ શંકરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિસાન સંઘના તાલુકા પ્રમુખ એલ.બી. ધોળકિયા તેમજ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોના ચણાના માલનું પૂજન કરી ખરીદી પ્રક્રિયાને મંગલ પ્રારંભ અપાવ્યો હતો. ટેકાના ભાવે ચણાની ખરીદી માટે અત્યાર સુધીમાં અંદાજે 1751 જેટલા ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવી છે. સરકાર દ્વારા ચણાનો ટેકાનો ભાવ 1175 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં અંદાજે 90 જેટલા ખેડૂતો પાસેથી ક્રમબદ્ધ રીતે ચણાની ખરીદી કરવામાં આવશે. આ માટે યાર્ડના વહીવટી તંત્ર દ્વારા ખરીદી પ્રક્રિયા સરળ અને પારદર્શક રહે તે હેતુથી જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખેડૂતોને લાંબી કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે ટોકન સિસ્ટમ તથા SMS દ્વારા જાણ કરવાની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ખેડૂતોને માલ સાફ-સુથરો અને યોગ્ય ગ્રેડિંગ સાથે લાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નોંધણી કરાવેલા અન્ય ખેડૂતોને પણ તબક્કાવાર બોલાવી તેમની પાસેથી ચણાની ખરીદી કરવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળવાની આશા જાગી છે અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટેના ઢોલ વાગી ચુક્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગય છે. પાલિકાના 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 8માં સૌથી વધુ મતદારો છે. જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછા મતદારો છે. કુલ 44માંથી 24 બેઠક અનામત છે. અમરેલી નગરપાલિકા માટે કુલ 79439 મતદારો મતદાન કરશે. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. અમરેલી નગરપાલિકામાં સીધે સીધો જ ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ફાઈનલ કરી લીધા છે અને આવનારા બે દિવસમાં આ ત્રણ મુખ્ય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરી દેશે. અમરેલી નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 8 વોર્ડ એવા છે. જેમાં 10 હજાર કરતા વધુ વસતિ છે. જ્યારે ત્રણ વોર્ડમાં વસતિની સંખ્યા 10 હજાર કરતા નીચે છે. વોર્ડ નંબર 8માં સૌથી વધુ 12812 વસતિ છે. જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછી 9623 વસતિ છે. વોર્ડ 5 પણ પ્રમાણમાં ઘણો મોટો છે. જ્યા 11747 વસતિ છે. નગરપાલિકાની 44 બેઠકો પૈકી 22 બેઠકો સીધે સીધી જ મહિલા અનામત રાખવામાં આવી છે. અનુસુચિત જાતિની બે બેઠક અનામત છે. જે પૈકી એક સ્ત્રી અનામત છે. અનુસુચિત આદી જાતિની એક બેઠક રહેશે. જે સ્ત્રી અનામત છે. જ્યારે પછાત વર્ગની 4 બેઠક અનામત છે. જે પૈકી બે બેઠક સ્ત્રી અનામત રહેશે. આમ 44માંથી કુલ 26 બેઠક અનામત રહેશે. જ્યારે 18 બેઠક સામાન્ય રહેશે. 11 વોર્ડમાં સરેરાશ 10724 મતદારો જોવા મળી રહ્યા છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણેય પક્ષોએ સેન્સ લેવાની પ્રક્રિયા ગઈકાલે જ પૂર્ણ કરી લીધી હતી. કોંગ્રેસે પાછળથી કોઈ ઉથલપાથલ ન થાય તે માટે બીજી વખત પણ સેન્સ લીધી હતી. નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં લોકોને પીડા આપતા ખરાબ રસ્તા, સફાઈનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન ઉપરાંત પાછલા સમયમાં થયેલા વિકાસ કામો વિગેરે મુખ્ય મુદ્દા રહેશે. આ બેઠક અનામત રહેશેવોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 9ની એક- એક બેઠક અનુસુચિત જાતિ માટે અનામત રખાય છે. જેમાં વોર્ડ નંબર 9ની બેઠક મહિલા અનામત પણ છે. વોર્ડ નંબર 4ની એક બેઠક અનુસુચિત આદિ જાતિ માટે અનામત છે. વોર્ડ નંબર 4, 7, 8 અને 10ની એક એક બેઠક પછાતવર્ગ માટે અનામત રખાય છે.
પરિવારજનોમાં ચિંતા ફેલાઈ:રાજુલામાં શિક્ષક પતિ ગુમ ફોન ઘરે મૂકીને જતા રહ્યાં
રાજુલામાં શિક્ષક રહસ્યમય રીતે ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. રાજુલાના શિવધારા એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક શિક્ષક પોતાના મોબાઇલ ફોન ઘરે મૂકીને ક્યાંક જતાં રહ્યા હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મૂળ જામજોધપુર તાલુકાના વેરાડ ગામના રહેવાસી અને હાલ રાજુલા ભેરાઈ રોડ પર રહેતા વિજયભાઈ ભીખુભાઈ જોટગીંયા (ઉ.વ.42) વ્યવસાયે શિક્ષક છે. તેમની પત્ની સુમીતાબેન વિજયકુમાર જોટગીંયા (ઉ.વ.45) પણ શિક્ષિકા હોય તેથી હાલ પેપર ચેકિંગની કામગીરી માટે ધારી મુકામે હતા. ત્યારે તેમના પતિ વિજયભાઈ રાજુલા સ્થિત નિવાસસ્થાને એકલા હતા. તા.૦3 એપ્રિલના રોજ સવારે અંદાજે સાડા દસ વાગ્યાની આસપાસ સુમીતાબેનની તેમના પતિ સાથે ફોન પર વાતચીત થઈ હતી. ત્યારબાદથી વિજયભાઈ પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી કોઈને કંઈ જાણ કર્યા વગર પહેરેલા કપડાંમાં જ ક્યાંક જતા રહ્યા છે. આ અંગે રાજુલા પોલીસને જાણ કરાતાતપાસ શરૂ કરી છે.
રજૂઆત:અમરેલીથી કનકાઈ માતાજીનામંદિર સુધી એસટી બસ શરૂ કરો
અમરેલી ગીર વિસ્તારમાં આવેલ પવિત્ર કનકાઈ માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે અમરેલીથી સીધી એસ.ટી. બસ સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. આ બાબતે સુમન સેવા ટ્રસ્ટ–અમરેલી દ્વારા એસ.ટી. વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. અમરેલી સુમન સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પરશોતમભાઈ એન. મકવાણા અને રતનબેન આર. બલદાણીયા દ્વારા અમરેલી એસ.ટી. ડેપોના મેનેજરને લેખિત રજુઆત કરી અમરેલીથી કનકાઈ માતાજી સુધી ફરીથી બસ સેવા શરૂ કરવાની માંગણી કરાઇ હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે કનકાઈ માતાજીનું મંદિર પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અમરેલી, ચલાલા, ધારી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે જતા હોય છે. અગાઉ અમરેલીથી કનકાઈ માતાજી સુધી એસ.ટી. બસ સુવિધા શરૂ હતી, પરંતુ હાલ આ સેવા બંધ છે. જેથી ભક્તોની સુવિધા અને ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને અમરેલીથી કનકાઈ માતાજી સુધી ફરીથી એસ.ટી. બસ શરૂ કરવામાં આવે તો હજારો ભક્તોને મોટી રાહત મળશે. આ માટે આ સેવા ટ્રસ્ટ દ્વારા એસ.ટી. વિભાગને બસ સુવિધા શરૂ કરવા અનુરોધ કરાયો છે.
રાજકોટ પોલીસે સાવરકુંડલાનો સાગરીત મનીષ ચોલેરાને ઝડપી પાડયો હતો. સાવરકુંડલાનો વતની આરોપી મનીષ ખોડીદાસ ચોલેરાએ શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડિંગ અને વલ્લભ ટ્રેડર્સ જેવી કુલ અલગ અલગ સાત બોગસ પેઢીઓ ચલાવતો હતો.આ પેઢીઓના એકાઉન્ટમાં અંદાજે 80 કરોડ રૂપીયાના ટ્રાન્ઝેક્શન થયા હતાં. આરોપીઓ દર 1 લાખના ટ્રાન્ઝેક્શન પર 450 રૂપીયા કમિશન મેળવતો હતો. જે મુજબ તેણે અત્યાર સુધીમાં રૂપીયા 36 લાખની કમાણી કરી હતી. આરોપીઓ ટેક્સમાં રાહત મેળવવા માટે જાણી જોઈને એગ્રિકલ્ચર, ખેતીવાડી પેઢીઓનો ઉપયોગ કરતા હતા. જેથી મોટા વ્યવહારો સરકારી એજન્સીઓની નજરમાં ન આવે તે માટે દુબઈ રહેતો હિરેન બેંક એકાઉન્ટની કીટ પહોંચાડતો હતો. આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક હિરેન લીંબાસીયા છેલ્લા એક વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હિરેન અવાર નવાર દુબઈ જઈને બેંક એકાઉન્ટની કીટ પહોંચાડતો હતો. હાલ રિમાન્ડ મેળવીને દુબઈના આકાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.મનીષ ખોડીદાસ ચોલેરાએ મોટાભાગે યસ બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકમાં જ ખાતા ખોલાવતો હતો. મનીષ ચોલેરા અગાઉ પકડાયેલા આરોપી મનીષ કમાણી અને વિવેક ભાલીયાના સંપર્કમાં હતો. તે એકાઉન્ટમાં આવતા નાણાંમાંથી પોતાનું કમિશન કાપી બાકીની રકમ રોકડ સ્વરૂપે આગળની ચેનલને મોકલી આપતો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસે અત્યાર સુધી આ કેસમાં તેલંગાણાના આદિલુદીન મહમદ અને મિહિર રંગાણી સહિતના સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હજુપણ આ રેકેટમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા છે.
નાંદોદ તાલુકાના વડિયા ગામની શિવક્તિ સોસાયટીની બાજુમાં વેરાઈ માતાજી ના મંદિરે શ્રીમદ્દ ભગત સપ્તાહ નું આયોજન વડિયાના જશોદા રજવાડી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. જશોદાબેન રજવાડીના ઘરેથી પોથી યાત્રા નીકળી હતી. વડિયા ગામના જાહેર માર્ગો પર ફરી ને પોથીયાત્રા સપ્તાહ સ્થળે પહોંચી હતી. જેમાં કથાકાર જયદેવ શાસ્ત્રી, મહિલા આગેવાન ભારતીબેન તડવી અને જશોદાબેનના પરિવાર વડીયા ગામના બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવત સપ્તાહનું રસપાન આંતરાષ્ટ્રીય કથાકાર જયદેવ શાસ્ત્રીના મધુરકંઠે કરાવવામાં આવશે. કથાકાર જયદેવ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ ગયો છે. 6 થી 12 એપ્રિલ સુધી દરરોજ બપોરે 3.30 થી 6.30 સમય દરમ્યાન આ સપ્તાહ યોજાશે.શ્રી કૃષ્ણ જન્મ થી રુકમણી વિવાહ સહિતના ઉત્સવો પણ આ કથા દરમ્યાન ઉજવવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમામાં ભકતોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. 19મીથી શરૂ થયેલી પરિક્રમામાં આજદિન સુધીમાં 6 લાખ જેટલા શ્રધ્ધાળુઓ નોંધાયાં છે. નર્મદા પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ ભક્તોની ભીડ વધી રહી છે. ખાસ કરીને શનિ-રવિની રજાઓ દરમિયાન પરિક્રમાવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રજાના આ બે દિવસોમાં જ અંદાજે 1.35 લાખ ભક્તો નોંધાયા છે. પરિક્રમાના પ્રારંભિક 10 દિવસમાં જ 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તંત્ર દ્વારા રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યા બાદ અત્યાર સુધીમાં 2.47 લાખ ભક્તોની સત્તાવાર એન્ટ્રી થઈ છે. ત્રણ અલગ-અલગ સ્થળોએ મુકવામાં આવેલા કાઉન્ટિંગ મશીન અને ઓનલાઇન રજિસ્ટ્રેશનના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ પરિક્રમાવાસીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. હજુ પરિક્રમાના 13 દિવસ બાકી છે, ત્યારે ભક્તોનો આ ઉત્સાહ જોતા પરિક્રમા પૂર્ણ થવા સુધીમાં આ આંકડો 10 લાખ સુધી પહોંચે તેવું અનુમાન છે. શરૂઆતમાં રજિસ્ટ્રેશન બાબતે શ્રદ્ધાળુઓને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ હાલમાં વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવતા પરિક્રમા પદ્ધતિસર ચાલી રહી છે. રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરતા નજરે પડી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે તેમ ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને રાજપીપળા ખાતે જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક મળી હતી જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રીનિવાસન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આપ અને ભાજપના 30થી વધારે કાર્યકરો આ અવસરે કોંગ્રેસમાં જોડાયાં હતાં. દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકા હોય કોંગ્રેસ કોઈપણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. કેમકે ભાજપના ભ્રષ્ટાચાર થી લોકો કંટાળી ગયા છે.અને લોકો જાણે છે કે જે યોજનાઓ આજે ઘરે ઘરે ચાલી રહી છે તે તમામ યોજના કોંગ્રેસની છે.
દમણમાં તાજેતરમાં નુમા ઇન્ડિયા દ્વારા આયોજિત 9મી કેપીએલ (કરાટે પ્રિમિયર લીગ) નેશનલ લેવલ કરાટે ટુર્નામેન્ટ-2026 યોજાઇ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં નવસારીના શિવાંશ કરાટે ક્લબના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલોની વણઝાર લગાવી છે અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. માત્ર 6 વર્ષની ઉંમર અને 13.300 કિગ્રા વજન ધરાવતા નવસારીના ઉભરતા ખેલાડી ધ્વનિત આલોક દેસાઈએ પોતાની પ્રતિભાનો પરિચય આપતા કુમીતે (ફાઈટ)માં બ્રોન્ઝ મેડલ અને કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 13 વર્ષીય ખેલાડી રેયાંશ ઘનશ્યામ શર્માએ ટુર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી હતી. તેણે ફાઈટ (કુમીતે)માં ગોલ્ડ મેડલ અને કાતામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, પ્રથમ વખત રમાયેલી અત્યંત કપરી ઓપન ચેમ્પિયનશીપ કોમ્પિટીશન' માં પણ રેયાંશે પોતાનો દબદબો જાળવી રાખતા કુમીતેમાં સિલ્વર મેડલ અને કાતામાં બ્રોન્ઝ મેડલ મેળવી બેવડી સફળતા હાંસલ કરી છે. આ તમામ વિજેતા ખેલાડીઓ નવસારી શિવાંશ કરાટે ક્લબના કોચ નરેન્દ્ર કોહલી અને તૌહીદ શેખ પાસે તાલીમ મેળવી રહ્યા છે. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ ટૂર્નામેન્ટ પ્રેસિડેન્ટ શીહાન વીર ચૌહાણે અભિનંદન પાઠવ્યા છે. નેશનલ લેવલે આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નવસારીના કરાટે પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાસ્કર એક્સક્લુસિવ:પાલિકાઓમાં નાણાંકીય વર્ષ વીતવા છતાં 15 દિ’ સુધી ઓનલાઇન ઠપ્પ
વલસાડ સહિત રાજયની તમામ નગરપાલિકાઓમાં ગત વર્ષના વેરા ભરવાનું રહી ગયેલા બાકીદારોના કામો અટવાઇ જતાં મુશ્કેલીમાં મૂકાયા છે. બાકીદારો બિલ ભરવા આવી રહ્યા છે, પરંતુ 1 એપ્રિલથી ગાંધીનગરથી ઓનલાઇન સિસ્ટમ સ્થિગિત કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી સરવર બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ભરણું કરવા પાલિકામાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ સિવાય રેગ્યુલર મિલકત ધારકોને પણ પાલિકાની ટેક્સ કચેરીમાં એડવાન્સ વેરો ભરવા ધક્કા પડ્યાં છે. જિલ્લાની પાંચ પાલિકામાં માર્ચ એન્ડિંગ સુધી વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતું તેમ છતાં સરેરાશ 30 ટકા મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્ક્રિય જણાયા હતા. જો કે, વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગે 90.83 ટકા વિક્રમી વસુલાતનો રેકોર્ડ નોંધાવી રિકવરી કરવાની મહેનતને સફળતાપૂર્વક સાકાર કરી હતી. જો કે એપ્રિલથી નવા નાણાંકિય વર્ષના પહેલાં જ ગાંધીનગરથી સરવર બંધ કરી દેવામાં આવતાં હાલે વેરા ભરવાની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે રેગ્યુલર તથા બાકી રહી ગયેલા મિલકત ધારકો હવે પાલિકામાં એડવાન્સ અને ગત વર્ષના વેરા ભરવા આંટા મારવાનો વારો આવ્યો છે. ઘરવેરા રસીદના અભાવે બધા કામો અટક્યા જે બાકીદારો ગત વર્ષના બિલ નહિ ભરતા ઘરવેરાની પહોંચની રસીદો ન હોવાથી ધણાંના સરકારી તથા પ્રાથમિક સુવિધાઓ, બેંકલોનના કામો અટવાઇ ગયા છે. જ્યાં મિલકતના વેરાની પહોંચ રજૂ કરવાની હોય તેવા કામો, બેંક લોન માટે જરૂરી હોય છે. વીજ કનેક્શન, પાણી, ડ્રેનેજ જોડાણ માટે પણ ઘર વેરાની રસીદ જરૂરી હોય છે. જે માટે હવે 15 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. બિલો ગાંધીનગરથી અપડેટ થયા બાદ ભરણુંઅગાઉ પાલિકા જ વેરાના બિલો તૈયાર કરતા હતા. ફિઝિકલ બિલો બનાવી ડોર ટુ ડોર બિલ મિલકત ધારકોને પહોંચાડવા હાઉસ ટેક્સ વિભાગ નાણાંકિય વર્ષના બે માસ પહેલાં જ બિલો છપાવવાની કામગીરી હાથ ધરાતી હતી. બાદમાં તેને વેરાદારો સુધી પહોંચાડવા પાલિકાની અલાયદી ટીમ કામ કરતી હતી. પરંતું હવે વેરાના બિલો કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઇન થઇ ગયા છે. જેનું સંચાલન ગાંધીનગરથી થાય છે. સર્વર બંધ થતાં વેરો ભરવા આવતાં બાકીદારોને હવે ધક્કા ખાવાનો વારો, કામો અટવાયારાજ્યની તમામ નગરપાલિકામાં દર વર્ષે એડવાન્સ વેરા પ્રક્રિયાની 1 એપ્રિલથી ગણતરી કરવામાંઆવે છે. વેરાનાબિલો ગાંધીનગરથીઓનલાઇન સિસ્ટમના આધારે કરવામાં આવેછે. જો કે 31 માર્ચસુધી ગાંધીનગરથી કોમ્પ્યુટરાઇઝડ બિલોઅપલોડ કરી વેરાદારોને કાઢીઆપવામાં આવતા હતા, જેનું ભરણું નગરપાલિકામાં કેસીધું ઓનલાઇન પણકરી શકાય તેવી સુવિધા પાલિકામાં ઉપલબ્ધ હતી. પરંતુંમાર્ચ એન્ડ બાદ નવા નાણાંકીય વર્ષ માટે 1એપ્રિલથી ઓનલાઇન બિલિંગ અપડેટ પ્રોસેસ થાય છે. જે કામગીરી 15 દિવસસુધી ચાલતી હોય 15 એપ્રિલ બાદ વેરા ભરીશકાશે. > રમણરાઠોડ, ટેક્સસુપ્રિન્ટન્ડન્ટ
ભાસ્કર એનાલિસિસ:ભાજપના 6 આકરા નિયમથી મનપાના 50 ટકાથી વધુ દાવેદારોની ટિકિટ કપાશે
વાપી મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 260 લોકોએ દાવેદારી નોંધાવી છે,ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 50 ટકા એટલે કે 130 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે.તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે.જો તેનું સંપૂર્ણ પાલન થાય તો વધુ લોકોને ઘરે બેસવાનો વારો આવશે. જ્યારે આ મહાનગર પાલિકામાં જે નવા ભળેલા 11 ગામો છે તેમાં સરપંચ અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે.બીજી બાજુ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો કયા ઉમેદવાર સક્ષમ છે તેનો અભ્યાસ કરીને કોંગ્રેસ અમુક સીટો ઉપર ઉમેદવાર જાહેર કરશે. ભાજપે આ નિયમો બનાવ્યાં છે ?3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય,જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય,એમપી,એમએલએ,નગરસે વકના પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આમ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. મહત્વની બાબત એ છે કે કોર્પોરેટરના સગાને પણ ટિકિટ નહી આપવાના નિર્ણય,60 વર્ષની ઉંમર,ત્રીજીવાર લડવાને કારણે અનેક દાવેદારોને અસર થશે.3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ.આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. સક્ષમ ઉમેદવારોની પસંદગી ન થશે તો પરિણામ બગડી શકેવાપી મહાનગર પાલિકાના ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં જો સક્ષમ ઉમેદવારોને જો ટિકિટ ન મળે તો ભાજપને જીતવું મુશ્કેલ થશે અને કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારો એકટીવ થાય એવી શક્યતા હોવાના મેસેજ વાઇરલ થયાં છે. ખાસ કરીને ભાજપમા આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કયા માપદંડો અપનાવે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કારણ કે પાછલી ચૂંટણીમાં નો રિપિટેશન સહિતની જાહેરાતો બાદ માજી પાલિકા સભ્યોને ટિકિટ અપાય હતી. જેથી હવે સક્ષમ ઉમેદવારોને ટિકિટ અપાશે કે કેમ તેની ગણતરીના દિવસોમાં જાહેરાત થઇ જશે. પ્રથમ દિવસે 147 ફોર્મ ઉપડયામહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો પર 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો હતો.પ્રથમ એક પણ ઉમેદવારીપત્રભરાયું ન હતું. પ્રથમ દિવસે કોંગ્રેસે 110 ,આપ પાર્ટીએ20 અને અપક્ષોએ 17 મળી કુલ 147 ફોર્મ ઉપડયા હતાં.ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનની ચર્ચા પર પ્રથમ દિવસે જ પૂર્ણ વિરામ મુકાયો હતો.જો કે ભાજપમાં ઉમેદવારોને લઇ રહસ્ય અકબંધ છે.
ડિજિટલ જનગણના:સંઘપ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 ઝુંબેશની શરૂઆત કરાશે
દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, આગામી ડિજિટલ જનગણના 2027 માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણમાં હાઉસ લિસ્ટિંગ અને આવાસ જનગણનાનું કાર્ય 20 એપ્રિલથી 19 મે સુધી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની સુવિધા માટે ભારતમાં પ્રથમવાર ''સ્વ-ગણના'' નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. સ્વ-ગણના દ્વારા મેળવેલ ડેટાની સટીકતા અને પૂર્ણતાની ખાતરી કરવા માટે ગણનાકારો અને પર્યવેક્ષકો દ્વારા તેનું રૂબરૂ સત્યાપન કરવામાં આવશે. કલેક્ટર કચેરી દ્વારા દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ ડિજિટલ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાના પરિવારની વિગતો પોતે જ ઓનલાઇન દાખલ કરે. વધુમાં, 20 એપ્રિલથી શરૂ થનારા ક્ષેત્ર ભ્રમણ દરમિયાન જનગણના અધિકારી અને ગણનાકારોને પૂરતો સહયોગ આપવા માટે પણ નમ્ર અપીલ કરવામાં આવી છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ પ્રશાસન દ્વારા વસ્તી ગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. વસ્તી ગણતરીમાં જોડાનાર કર્મચારીઓને આ અંગે જરૂરી તાલિમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફોર્મમાં 33 સવાલના જવાબ આપોપ્રદેશના પરિવાર 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી નિર્ધારિત વેબ પોર્ટલ se.census.gov.in પર પોતાના મોબાઈલ નંબર અને ક્રેડેશીયલ દ્વારા લોગ-ઈન કરીને વિગતો ઓનલાઇન ભરી શકશે. આ વેબ સુવિધા અત્યંત સુરક્ષિત છે અને 16 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. ડિજિટલ જનગણનાના આ પ્રથમ ચરણમાં કુલ 33 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઇન ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ એક અદ્વિતીય ''સ્વ-ગણના આઈડી'' જનરેટ થશે, જે ગણનાકારની મુલાકાત સમયે તેમને આપવાનો રહેશે.
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની દેશભરની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. સેલવાસ સ્થિત ‘અટલ ભવન' ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી સુનિલ પાટિલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ''ભારત માતા કી જય''ના ગુંજારવ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના સંઘર્ષમય ઇતિહાસ, સંગઠનલક્ષી કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રનિર્માણમાં ભાજપના અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી સુનિલ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ રાષ્ટ્રસેવા અને સંસ્કારનો એક મજબૂત સંકલ્પ છે. ''રાષ્ટ્ર પ્રથમ'' અને ''અંત્યોદય''ના મંત્રને વરેલી ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય સંસ્થા બની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશની સરહદો સુરક્ષિત કરવાથી લઈને ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન સુધીના તમામ સંકલ્પો ભાજપ સરકારે પૂર્ણ કર્યા છે, જેના પરિણામે આજે ભારત વિશ્વના મંચ પર એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. કાર્યક્રમના અંતમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ પરમાર અને હિતેશ લાડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશના ભાજપના અગ્રણી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પક્ષની વિચારધારાને વધુ વેગ આપવા સંકલ્પબદ્ધ થયા હતા.
વિશ્વ આરોગ્ય દિવસ:કપરાડામાં ઠંડા પીણાનું મીઠું ઝેર, તપાસમાં 10માંથી 8 લોકોને સુગર
વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ કપરાડા તાલુકામાં આરોગ્યની અત્યંત ચોંકાવનારી અને ડરામણી હકીકત સામે આવી છે. અહીં યોજાયેલા મેડિકલ કેમ્પમાં તપાસ કરનારા દર 10માંથી 8 લોકો ડાયાબિટીસથી પીડિત હોવાનું નોંધાયું છે. આ ગંભીર સ્થિતિ પાછળ શ્રમિકોમાં વધતી ઠંડા પીણાંની લત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ આર્થિક અને શારીરિક નુકસાન અટકાવવા કપરાડાની સુખાલા પ્રાથમિક શાળાએ એક ક્રાંતિકારી પહેલ કરી ઠંડા પીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ અને બહિષ્કાર જાહેર કર્યો છે. પાણી કરતા કોલ્ડ ડ્રિંક્સ સહેલાઈથી મળે છે!: કપરાડા અને આસપાસના વિસ્તારોમાં ખડતલ જીવન જીવતી પ્રજા હવે ઠંડા પીણાંના રવાડે ચઢી છે. મજૂરી કામે જતી વ્યક્તિ તરસ છિપાવવા માટે દિવસમાં 2થી 3 વખત ઠંડા પીણાં પર નિર્ભર રહે છે. ગામડાઓમાં પીવાના શુદ્ધ પાણી કરતા ઠંડા પીણાંની બોટલો વધુ સરળતાથી ઉપલબ્ધ હોવાથી આ લત વકરી છે. તબીબોની ચેતવણી છતાં, જાગૃતિના અભાવે અને ભગત-ભુવામાં વધુ શ્રદ્ધા હોવાથી લોકો સમયસર ડાયાબિટીસનું ચેકઅપ કરાવતા નથી. શાળાની પહેલ બન્યું મોડેલ કપરાડાની સુખાલા પ્રાથમિક શાળાએ છેલ્લા એક વર્ષથી કેમ્પસમાં ઠંડાપીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ કાર્યક્રમ હોય કે સામાન્ય દિવસો, શાળામાં હવે ઠંડા પીણાં લાવવા પર મનાઈ છે. વાલીઓની સહમતિથી લેવાયેલો આ નિર્ણય હવે સમગ્ર તાલુકા માટે એક ઉદાહરણ બની રહ્યો છે. લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે “પાછલા મેડિકલ કેમ્પમાં 10માંથી 8 લોકોને ડાયાબિટીસ જોવા મળ્યો હતો. લોકો હજુ પણ બીમારીમાં તબીબ પાસે જવાને બદલે ભગત-ભુવામાં માની રહ્યા છે. ઠંડાપીણાંથી દૂર રહેવું હવે અત્યંત જરૂરી છે.”> ડો. દિવ્યેશ ચૌધરી, તબીબ, નાનાપોંઢા અન્ય શાળાઓ પણ પ્રેરણા લે તે જરૂરી છેશાળાના વિદ્યાર્થીઓ હવે માત્ર શાળા પૂરતા મર્યાદિત નથી, પણ તેઓ ઘરે-ઘરે જઈનેઠંડાપીણાં અને જંક ફૂડથી થતા નુકસાન વિશે વડીલોને સમજાવે છે. આ પહેલથી વાલીઓમાંપણ જાગૃતિ વધી રહી છે અને ધીમે ધીમે ઘરોમાં ઠંડા પીણાંનો વપરાશ ઘટી રહ્યો છે. બાળકો હવે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે“અમારી શાળામાં લેવાયેલા નિર્ણય બાદ હવે બાળકો સમાજમાં જઈને જાગૃતિ ફેલાવી રહ્યા છે. વાલીઓએ પણ આ પહેલને સ્વીકારી છે, જે આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય સુધારા તરફ એક સકારાત્મક બદલાવની શરૂઆત છે.>હરિશભાઈ પટેલ, આચાર્ય, સુખાલા પ્રાથમિક શાળા
અકસ્માતની ભીતિ:છાપરા રોડ પર વાહનચાલકોની બેફામ ગતિ સામે રહીશોમાં આક્રોશ
નવસારીના છાપરા વિસ્તારમાં તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલા નવા રોડ પર વાહનોની ગતિ જોખમી સ્તરે પહોંચી છે. ખાસ કરીને અંકુર પાર્ક અને નંદ બંગ્લોઝ જેવા રહેણાંક વિસ્તારોની બિલકુલ સામે સ્પીડ બ્રેકરનો અભાવ હોવાથી વાહનચાલકો ફૂલ ઝડપે વાહનો હંકારી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાળ અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસી મોહનભાઈ દેસાઇના જણાવ્યાનુસાર, રોડ નવો અને સ્મૂધ હોવાથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સોસાયટીમાંથી બહાર નીકળતા વૃદ્ધો અને બાળકો માટે રસ્તો ઓળંગવો અત્યંત જોખમી બન્યો છે.કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયા વગર, અંકુર પાર્ક અને નંદ બંગ્લોઝની સામે તાકીદે યોગ્ય અંતરે સ્પીડ બ્રેકર (ગતિ અવરોધક) મૂકવામાં આવે. વહીવટી તંત્ર આ બાબતની ગંભીરતા સમજીને સત્વરે કાર્યવાહી કરે તેવી પ્રબળ રજૂઆત કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ અને મતગણતરી 28 એપ્રિલના રોજ થનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથી આગામી 30 એપ્રિલ સુધી મહાનગરપાલિકા/ નગરપાલિ કા તેમજ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકર ઉંચા અવાજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચૂંટણી પ્રચારના કોઇપણ હેતુ માટે કોઇપણ પ્રકારના વાહનો ઉપર ગોઠવેલા લાઉડ સ્પીકરોના ઉપયોગ સવારના 8 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જ જનતાને કોઇપણ રીતે ત્રાસ, જોખમ, ભય કે નુકસાન ન થાય તેવી રીતે તાલુકાના કાર્યપાલક મેજીસ્ટ્રેટ અને મામલતદારની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે. સવારના 8 વાગ્યા પહેલા અને રાત્રિના 10 વાગ્યા પછી કોઇપણ પ્રકારના વાહનો પર ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા વાહનો દ્વારા ફરતા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત તાલુકાના કાર્યપાલક મેજીસ્ટ્રેટ અને મામલતદારની લેખિત પરવાનગી પ્રથમ લેવાની રહેશે. ફરતા વાહનોમાં ગોઠવેલ સ્પીકરના ઉપયોગ માટે કરવામાં આવતી અરજીઓમાં વાહનોનો પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. જે વાહન માટે પરવાનગી આપી હોય તે વાહન સંચાલકે પરવાનગી હુકમ વાહન સાથે રાખવો પડશે. પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને તેમજ સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા મેળવેલ પરવાનગી/ પરમીટની સંપૂર્ણ અને લેખિતમાં જાણ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ- 131 મુજબ સજાને પાત્ર થશે.
વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લાગુ કરવામાં આવેલી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગામના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ સરકારી મિલકતોની આસપાસ રાજકીય પક્ષોના બેનરો અને પોસ્ટરો યથાવત જોવા મળતા ચૂંટણી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ જાહેર સ્થળોએ લગાવેલા રાજકીય પોસ્ટરો, બેનરો અને પ્રચાર સામગ્રી તાત્કાલિક દૂર કરવાની જોગવાઈ હોવા છતાં પીપલખેડ ગામમાં અનેક સ્થળોએ હજુ સુધી પોસ્ટરો ન હટાવતા નિયમભંગની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગામના પ્રવેશદ્વાર, બસ સ્ટેન્ડ વિસ્તાર અને કેટલાક શૈક્ષણિક સંસ્થાઓની દિવાલો પાસે રાજકીય પ્રચાર સામગ્રી નજરે પડતા સ્થાનિક નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. ગામલોકોનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રહે તે માટે આચાર સંહિતાનો કડક અમલ જરૂરી છે, પરંતુ સંબંધિત તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થતા નિયમો માત્ર કાગળ પર જ મર્યાદિત રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કેટલાક સ્થાનિક આગેવાનોનું માનવું છે કે એક તરફ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના પાલન અંગે કડક સૂચનાઓ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ જાહેર સ્થળોએ યથાવત રાજકીય પોસ્ટરો જોવા મળવું તંત્રની બેદરકારી દર્શાવે છે. આ મામલે સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી તમામ પોસ્ટરો અને બેનરો દૂર કરાવી નિયમોના ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ.
વાંસદા તાલુકાના દૂબળ ફળિયા ગામના વતની અને છોટા ઉદેપુર જિલ્લાની ગુનાટા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ જીતેન્દ્ર મનુભાઈને દેશ-વિદેશની હસ્તીઓની ઉપસ્થિતિમાં રાજસ્થાન (જયપુર)માં આંતરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને આંતરાષ્ટ્રીય ગ્લોબલ ડાયમંડ એવોર્ડ 2026માં બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વાંસદા તાલુકાના દૂબળ ફળિયા ગામના વતની અને છોટા ઉદેપુર જિલ્લાની ગુનાટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ જીતેન્દ્રભાઇ મનુભાઈને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આંતરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ડાયમંડ એવોર્ડ 2026માં બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સન્માન સમારોહ રાજસ્થાનના જયપુરમાં 5 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમના શિક્ષણ ક્ષેત્રના યોગદાનના કારણે અપાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં શિક્ષણ, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ થયો હતો. જીતેન્દ્ર પટેલ છેલ્લા 10 વર્ષથી ગ્રામીણ છાત્રોને નવીન શિક્ષણ પદ્ધતિ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ અને મૂલ્યશિક્ષણ આપવા માટે કાર્યરત છે. એવોર્ડના પગલે છોટા ઉદેપુર શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. તેમની આ સિદ્ધિ વાંસદા તાલુકો, છોટા ઉદેપુર જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. તેમની સિદ્ધિ બદલ વાંસદા તાલુકા શિક્ષણ વિભાગ, સહકારી શિક્ષકો અને ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
4 હુમલાખોર સામે નોંધાયો ગુનો:ટેકનિકલ સ્કૂલ પાસે અદાવતમાં પાઇપ વડે હુમલો, માતા-પુત્રને ઇજા
નવસારી શહેરના ટેકનિકલ સ્કૂલ પાસે આવેલા નવકાર દર્શન એપાર્ટમેન્ટમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક યુવક અને તેની માતા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નવસારીના ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ નવકાર દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય અલ્ફાજભાઇ મીઠાણીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા ઝુનેદ, સમીર, એઝાઝ અને મૈયુદ્દીન (તમામ ફારૂકભાઇના પુત્રો)એ ગત રાત્રે જૂની અદાવતમાં તેમની પર હુમલો કર્યો હતો. આરોપી સમીરે પાઇપ વડે અલ્ફાજભાઇના માથા અને હાથ પર ઘા ઝીંક્યા હતા. પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેમના માતાને પણ એઝાઝે પાઇપ વડે માર મારતા હાથ અને ખભાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચવા પામી છે. હુમલાખોરોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો છે. નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ.ડી.ગમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જાહેર મિલકતો અને રસ્તાઓ પર થતા દબાણો દૂર કરવા માટે બનાવવામાં આવેલી સમિતિની વિગતો છુપાવવી નવસારીના મહેસૂલી અધિકારીઓને મોંઘી પડી છે. નવસારીના જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગે કડક વલણ અપનાવી નવસારી ગ્રામ્ય મામલતદાર (કાલિયાવાડી) અને નાયબ કલેક્ટર વિરુદ્ધ લાલ આંખ કરી છે.જેમાં ગ્રામ્ય મામલતદારને રૂ. 3000નો દંડ ફટકાર્યો હતો. નવસારીના રહેવાસી જિતેન્દ્ર નાનુભાઈ દેસાઈ દ્વારા જાહેર રસ્તા અને સરકારી સંપત્તિ પરના દબાણો રોકવા માટે સરકાર દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી છે, તેના અધ્યક્ષ અને સભ્યોના નામની વિગતો માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવી હતી. જોકે, જવાબદાર અધિકારીઓ દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આનાકાની કરવામાં આવી હતી અથવા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. અધિકારીઓના નકારાત્મક વલણ સામે જિતેન્દ્રભાઈએ ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું હતું કે સરકારી અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં ગંભીર બેજવાબદારી દાખવવામાં આવી છે.જેને લઇ ગુજરાત માહિતી આયોગે માહિતી આપવામાં વિલંબ કરવા બદલ નવસારી ગ્રામ્ય મામલતદાર રાકેશ જાદવને ₹3,000નો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ અધિકારીએ પોતાના અંગત ભંડોળ અથવા પગારમાંથી ભરપાઈ કરવાની રહેશે. આગામી 30 દિવસમાં અરજદારને માંગેલી તમામ માહિતી પૂરી પાડવાનો આદેશ અપાયો છે. આ ચુકાદાથી વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા અધિકારીઓ માહિતી ન આપતા તેમના માટે ચૂકાદો લાલબત્તી સમાન છે.
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે સોમવારે ઉત્સાહભેર પ્રારંભ થયો. જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 594 ફોર્મનું વિતરણ થયા હતા. જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે 80 ફોર્મ અને 10 તાલુકા પંચાયત માટે 232 ફોર્મનું વિતરણ થયું હતું. ઊંઝા નગરપાલિકામાં એક જ દિવસે 103 ફોર્મ ઉપડ્યા હતા. વિજાપુરમાં 73, વિસનગરમાં 38, કડીમાં 6 અને વડનગર પેટા ચૂંટણી માટે 1 ફોર્મ મળી કુલ 221 ફોર્મનું વિતરણ થયું હતું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પીએમ મોદીની આસામ રેલીના છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવે છે. બીજા સમાચાર તમિલનાડુથી છે જ્યાં એક સાથે 9 પોલીસકર્મીઓને મોતની સજા ફટકારવામાં આવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં આજે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુનાવણી થશે. 2. આસામ, કેરળ, પુડુચેરીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કાલના મોટા સમાચારો 1. પ્રિયંકાએ કહ્યું- BJP અને LDF વચ્ચે સીક્રેટ ડીલ:આ જ કારણે મોદી સબરીમાલા ચોરી મામલે મૌન રહ્યા; PMએ કહ્યું-કોંગ્રેસ પાકિસ્તાનનું લખેલું ગીત ગાય છે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારના ભાગ રૂપે કેરળના કન્નુરમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આગામી કેરળ ચૂંટણી માટે LDF અને ભાજપ વચ્ચે એક સીક્રેટ ડીલ થઈ છે. અમે સબરીમાલા મંદિરમાં વ્યાપક ચોરીઓ જોઈ, પરંતુ વડાપ્રધાન તરફથી એક પણ શબ્દ બોલાયો નહીં. આ તે ડીલનો પુરાવો છે. PM નરેન્દ્ર મોદી આસામ પહોંચ્યા હતા. આજે તેમની ત્રણ રેલીઓ છે. બરપેટામાં તેમણે જાહેરાત કરી કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન આસામમાં વિજયની હેટ્રિક કરશે, અને કોંગ્રેસ હારની સદી ફટકારશે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના વચનો પૂરા કરે છે. કોંગ્રેસ પાસે વિકાસ માટે દ્રષ્ટિનો અભાવ છે અને લાંબા ગાળાનું વિઝન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુમાં 9 પોલીસકર્મીને ફાંસીની સજા:પિતા-પુત્રને આખી રાત ટોર્ચર કરી ક્રૂરતા આચરી, 6 વર્ષ પહેલાં કસ્ટડીમાં મૃત્યુ થયું; કોર્ટે ‘રેયરેસ્ટ ઓફ રેયર’ ગણાવ્યું તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે તેને 'રેરેસ્ટ ઓફ રેર' (અતિ દુર્લભ) ગણાવતા અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનો મામલો ગણાવ્યો. આ મામલો 2020માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ સાથે સંબંધિત છે. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા. કોર્ટે CBIની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરવામાં આવ્યું, તેથી મહત્તમ સજા આપવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો ગેસ સિલિન્ડર મળશે:આધાર કાર્ડ બતાવીને સિલિન્ડર ખરીદી શકાશે, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરોને રાહત મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારત-બાંગ્લાદેશ બોર્ડર ઘૂસણખોરી, સાપ-મગરનો ઉપયોગ કરી શકે છે BSF:175 કિમીના કાદવવાળા વિસ્તારમાં ફેન્સિંગ મુશ્કેલ, 10 વર્ષમાં ઘૂસણખોરીની 7 હજાર ઘટનાઓ BSF બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે મગર અને સાપનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, 26 માર્ચે ગૃહ મંત્રાલયે BSF મુખ્યાલયને ઓપરેશનલ સ્તરે સરિસૃપો (મગર અને સાપ)ના ઉપયોગ પર વિચાર કરવા આદેશ આપ્યો છે. ભારત-બાંગ્લાદેશની 4,096 કિમી લાંબી સરહદમાં લગભગ 175 કિમીનો હિસ્સો નદી અને કાદવવાળા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારોમાં ફેન્સિંગ લગાવવું મુશ્કેલ હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઈઝરાયલનો હુમલો: ટ્રમ્પે અહીં એટેક કરવાની ના પાડી હતી; જોર્ડનમાં અમેરિકી લશ્કરી બેઝ પાસે વિસ્ફોટ ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે. આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે. આ અગાઉ ઈઝરાયલે 18 માર્ચે પણ આ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આ હુમલા અંગે કોઈ જાણકારી નહોતી. તે સમયે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ પ્રકારના વધુ હુમલા થવા જોઈએ નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'કોંગ્રેસ પ્રમુખને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભાજપના સ્થાપના દિવસે CMએ કહ્યું- 'ખડગેના નિવેદને 6.5 કરોડ ગુજરાતીઓ અને ગાંધી-સરદારની ભૂમિની ગરિમા લજવી છે' ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની રેલીમાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ખડગેએ રવિવારે આપેલા નિવેદનને લઈ મુખ્યમંત્રીએ રવિવારે રાત્રે જ તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સમયે પણ ગુજરાતીઓને લઈ આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું. ખડગેના નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે-સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. ખડગેનું શરમનજક નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત મહેસૂસ કરે છે. પાંચ રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભરઉનાળે ચોથું માવઠું, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી:ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. અત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અંગ્રેજી બુકથી રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ:લખ્યું- બોસથી બે ડગલાં આગળ રહેવાની કોશિશ ન કરો; આનાથી ડર અને અસુરક્ષા પેદા થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કેનેડામાં ખાલિસ્તાનીઓએ 100-100 ડોલર આપીને ભાડેથી ભીડ ભેગી કરી:મંદિરની બહાર નારા લગાવ્યા; બોલ્યા- હરિયાણા-દિલ્હી, બીકાનેર અમારા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : જયપુરમાં વિદેશી મહિલાની છેડતી:જાપાનથી ફરવા આવી હતી, 5 યુવકોએ ગંદી હરકત કરી, આરોપીઓ CCTVમાં કેદ વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : ઈરાનની ગ્લોબલ સપ્લાય રોકવાની ધમકી, ક્રૂડ ઓઇલ $110ને પાર:ભારતના આયાત બિલ પર ₹16,000 કરોડનો બોજ વધશે, મોંઘવારી વધી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : 106 મીટરની ‘મોન્સ્ટર સિક્સ’, બોલ સ્ટેડિયમની બહાર:ટિમ ડેવિડે આ સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી, બેટ છોડી રન માટે દોડ્યો સરફરાઝ વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : પ્રેરક કથા: સંતની રાજાને શીખ:સાચી ખુશી અને શાંતિ બાહ્ય વસ્તુઓમાં નથી, ઇચ્છાઓ અને અહંકાર છોડ્યા પછી મળે છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ઇન્સાનના વાળ કરતા પણ નાનો QR કોડ ઓસ્ટ્રિયાની ટીયુ વેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇન્સાનના વાળ કરતા પણ નાનો QR કોડ બનાવ્યો છે. તેનું કદ 1.977 સ્ક્વેર માઇક્રોમીટર છે. તેને આયન બીમ ટેકનિકથી એક પાતળા પડ પર તૈયાર કરવામાં આવ્યો છે. ફ્યુચરમાં તેનો ઉપયોગ ડેટા સ્ટોરેજ, સુરક્ષા અને મટીરીયલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં કરી શકાય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામના આશ્રમમાં એવું શું થતું કે છોકરીઓ ઘરે ભાગી જતી?: પોલીસને સોલિડ પુરાવા મળ્યા, ‘આસારામ બાપુ સેક્સ એડિક્ટ હતા’, જુઓ વીડિયો સિરીઝનો એપિસોડ-28 2. MATCH મસાલા : 'ફેકુ' કહેતા કોહલીને જાડેજાએ જવાબ આપ્યો:હાર્દિકની EX જુના સાસરે કેમ ગઈ?; CSK-RCBની મેચમાં સટાસટી બોલી ગઈ 3. પારકી પંચાત : હરખપદુડા નેતાઓએ મતદાનની તારીખ ખોટી આપી:પ્રચાર ટાણે બાફ્યું; ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાને પાછા લીધા, સિનિયર MLAએ બાંયો ચઢાવી, જુઓ VIDEO 4. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : એક ઈંટ પણ મૂક્યા વગર કરોડોની કમાણી!:ગુજરાતની નગરપાલિકાઓમાં ટેન્ડર પર તરાપ, ખાનગી એજન્સી પર ચાર હાથ, બ્લેકલિસ્ટના કેસમાં HCમાં 6 વર્ષથી સુનાવણી ન થઈ 5. કપડાં આપીને શૂદ્ર મહિલાઓ સાથે સંબંધ બાંધતા નંબુદરી બ્રાહ્મણો:બાળકોને હાથ પણ નહોતા લગાવતા, પરિણીત મહિલાઓ પણ આ પરંપરા કેમ માનતી 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : શું આસામમાં ચાના બગીચાના કામદારો ભાજપનો ખેલ બગાડશે?:10 વર્ષમાં દૈનિક વેતનમાં ₹154નો વધારો, ST દરજ્જો ન મળ્યો, 45 બેઠકો જોખમમાં 7. મંડે મેગા સ્ટોરી પિતાના કહેવાથી 'કિલર' બન્યા ટ્રમ્પ:મિત્રની હત્યાનો પ્રયાસ; પિતા બનવા માટે પત્નીને પૈસા આપ્યા; ટ્રમ્પના 'ગાંડપણ'ના કિસ્સા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:મકર રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ, ધન-મીન રાશિ માટે નાણાકીય લેવડ-દેવડમાં લાભના સંકેત વાંચો સંપૂર્ણ સમાચાર
રાજકોટ આમ આદમી પાર્ટીના બે નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના દબાણ હટાવ શાખા દ્વારા થાંભલા ઉપર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનર હટાવતા વોર્ડ નંબર-4ના ઉમેદવાર દ્વારા મનપાના કર્મચારીને ભાજપના દલાલ છો કહી બોલાચાલી કરી ફરજ રુકાવટ કરતા ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16, અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવવામાં આવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાજી ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી. અમારી ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ભાજપના દલાલ છો કહી બોલાચાલી કરી અમારી ફરજમાં રુકાવટ કરી હતી જેથી ફરજ રુકાવટ કરતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં બેનર ઉતારવા બાબતે થયેલ ઘર્ષણના વાયરલ વીડિયો બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર- 4ના ઉમેદવાર રાહુલ ભુવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી તો એ મુદ્દે હું ખુલાસો કરવા માંગુ છું કે, આ વિડીયો 31 તારીખનો હતો અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા. જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. તો મહત્વપૂર્ણ બાબતે છે કે 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. અને એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગી હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે પરંતુ તેને ઉતારવામાં આવતા નથી. પરંતુ ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. જ્યારે એ લોકોને ખબર પડી કે એ લોકો ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી વિડીયો રિલીઝ કર્યો છે. એ લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. અને આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે. આજે 7 એપ્રિલના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે. શહેર અને જિલ્લા સંકલનના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલા ત્રણથી ચાર નામોના પેનલની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારના નામ ઉપર મહોર મારવામાં આવશે. CM, DyCM, પ્રદેશ પ્રમુખ ચૂંટણી સમિતિની બેઠકના હોદ્દેદારસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવાની શરૂઆત થવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ અને સિનિયર કાર્યકર્તાઓ જે ચૂંટણી સમિતિની બેઠકના હોદ્દેદારો છે. તેમના દ્વારા મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયારઅમદાવાદ મહાનગરપાલિકા માટે એક ઉમેદવાર પણ ત્રણ ઉમેદવારના નામોની એમ ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. તમામ નામો પર ચર્ચા કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પેનલની જાહેરાત કરવામાં આવશે. 9 એપ્રિલના ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકેગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. સૌ પ્રથમ મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 9 એપ્રિલના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ ધીમે ધીમે નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર-2ના સહ-કન્વીનરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા તેમણે પક્ષની કાર્યપદ્ધતિ અને ઉમેદવારની પસંદગીના માપદંડો સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. ચિત્રહીન વ્યક્તિને ટિકિટ આપવાની તૈયારીના ગંભીર આક્ષેપ સાથે કહ્યું હતું કે, પ્રચારમાં તેની સાથે મહિલાઓને કેવી રીતે મોકલવી? ‘ટિકિટનો મોહ નહીં પણ પરિવર્તનની લડાઈ હતી’રાજીનામું આપનાર પદાધિકારી અશોક બલરે સ્પષ્ટતા કરી છે કે તેમનો નિર્ણય કોઈ ટિકિટ ન મળવાને કારણે નથી. તેમણે કહ્યું કે, મેં ક્યારેય ટિકિટ માંગી જ નથી, એટલે ટિકિટ ન મળવાનો કોઈ અફસોસ હોઈ શકે નહીં. અમારો હેતુ પ્રામાણિક ઉમેદવારોને જીતાડીને શહેરમાં પરિવર્તન લાવવાનો હતો. તેમણે પક્ષના કાર્યકરો અને મિત્રોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો માટે જોડાયા હતા. ચિત્રહીન વ્યક્તિને ટિકિટ આપવાના ગંભીર આક્ષેપરાજીનામા પાછળનું મુખ્ય કારણ જણાવતા તેમણે વોર્ડ નંબર-5ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે, જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા તેમછતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. મહિલા કાર્યકરોની સુરક્ષાનો મુદ્દોતેમણે નૈતિકતાનો મુદ્દો ઉઠાવતા પ્રશ્ન કર્યો હતો કે, જો વિવાદાસ્પદ છબી ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવે, તો કયા મોઢે જનતા પાસે પ્રચાર કરવા જવું? ખાસ કરીને મહિલા કાર્યકરોની ગરિમા અને સુરક્ષાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આવા લોકો સાથે મહિલા કાર્યકરોને પ્રચારમાં મોકલવા તે યોગ્ય નથી. શહેર પ્રમુખને સોંપ્યું રાજીનામુંપોતાના પદનો મોહ છોડીને તેમણે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે ઉમેર્યું કે જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. ચૂંટણી પહેલા જ પાયાના કાર્યકરોનો આક્રોશ આમ આદમી પાર્ટી માટે સુરતમાં ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ મામલે શું સ્પષ્ટતા કરે છે.
પાટનગર ગાંધીનગર હવે માત્ર હરિયાળા શહેર તરીકે જ નહીં પણ પૂર નિયંત્રણ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે પણ હાઈટેક બની રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પૂર નિયંત્રણ માટે અત્યંત આધુનિક વોટર લેવલ સેન્સર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ હાઈટેક સિસ્ટમની ખાસિયત એ છે કે, હવે શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થશે તેની સેકન્ડોમાં જ જાણ કંટ્રોલ રૂમને થઈ જશે. આ ટેકનોલોજીને કારણે તંત્ર હવે નાગરિકોની ફરિયાદની રાહ જોયા વગર જ એક્શન મોડમાં આવી શકશે. જળબંબાકારની સ્થિતિમાં વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને સામાનને નુકશાન થતુંગાંધીનગરના વિવિધ સેક્ટરો અને ખાસ કરીને અંડરપાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. અત્યાર સુધીની પદ્ધતિ મુજબ જ્યારે કોઈ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવતી હતી અથવા તો તંત્રના કર્મચારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે પરિસ્થિતિનો અંદાજ આવતો હતો. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થઈ જતો હતો. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને લોકોના માલ-સામાનને નુકસાન થતું હતું. જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરાશેજોકે, હવે આ નવી ડિજિટલ સિસ્ટમથી આખી પ્રક્રિયા રિયલ-ટાઈમ મોનિટરિંગ પર આધારિત બની જવાની છે. કેમકે આ સમસ્યાના નિરાકરણ માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરવામાં આવશે. આ સેન્સર્સ સીધા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી દ્વારા સેન્ટ્રલ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા રહેશે. જેવું કોઈ વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર નિર્ધારિત જોખમી સપાટીએ પહોંચશે કે તરત જ કંટ્રોલ રૂમમાં એલર્ટ ગુંજશે અને ડિજિટલ સ્ક્રીન પર લાઈવ લોકેશનની સાથે પાણીની ચોક્કસ ઊંડાઈ પણ જોવા મળશે. પાણીનું સ્તર ભયજનક બનશે તો ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશેઆનાથી ફાયદો એ થશે કે તંત્ર જેતે વિસ્તારમાં તાત્કાલિક પંપિંગ મશીનો મોકલી શકશે અને સ્થિતિ વિકટ બને તે પહેલાં જ પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેશે.ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનો ફસાઈ જવાના કે ડૂબી જવાના કિસ્સાઓ બનતા હોય છે. આ નવી સિસ્ટમ હેઠળ જો અંડરપાસમાં પાણીનું સ્તર ભયજનક બનશે તો સિસ્ટમ દ્વારા આપોઆપ ત્યાં લાગેલા ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશે અથવા ટ્રાફિક સિગ્નલને લાલ કરી દેવામાં આવશે. આનાથી વાહનચાલકો પાણીમાં પ્રવેશતા અટકશે અને જાનમાલનું નુકસાન નિવારી શકાશે. ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશેગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ ઝીરો ડિઝાસ્ટર અને ક્વિક રિસ્પોન્સ છે. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં શહેરના ડ્રેનેજ નેટવર્કને સુધારવા માટે પણ કરવામાં આવશે. કયા વિસ્તારમાં પાણીનો ભરાવો વારંવાર થાય છે, તેનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થશે જેના આધારે કાયમી સિવિલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ શોધી શકાશે. આમ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના સમન્વયથી ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશે. આગામી ચોમાસું આ ટેકનોલોજીના રક્ષણ હેઠળ ગાંધીનગરવાસીઓ વધુ સુરક્ષિત રહેશે.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ ડિવિઝન) ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ સ્થિત પંડિત રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કરાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંયુક્ત મંત્રી મૃદુલાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી અન્વેષભાઈ પટેલ, કોલેજ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય ડૉ. નયન એસ. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ દરમિયાનની વિવિધ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિરાગ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ પારસ સેમરુડકરે આભાર વિધિ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર શહેરમાં ઘર ઘર મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જનસંપર્ક મજબૂત બનાવવાનો છે. આ અભિયાનમાં 200થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક પ્રજાજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમણે દરેક બૂથ અને દરેક ઘર સુધી પહોંચીને લોકસંપર્કને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે શહેર અધ્યક્ષ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિત દરેક વોર્ડના પૂર્વ સદસ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ અભિયાનને પ્રેરણાદાયક શરૂઆત આપી. આ અભિયાન દ્વારા ભાજપ સરકારના વિકાસના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જૂના બાદલપુર ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી ઉત્તરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે અંગ્રેજી વિષયના શિક્ષક એન. કે. પટેલ (નિલેશ પટેલ) નો વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે શાળાના વિકાસ માટે રૂ. 1,25,000 (એક લાખ પચ્ચીસ હજાર) નું દાન અર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પટાંગણમાં પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળના સભ્યો, સાથી શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા નિલેશ પટેલનું શાલ ઓઢાડીને અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી અંગ્રેજી જેવા વિષયને અત્યંત સરળ શૈલીમાં ભણાવીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તેમની નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ ભાવના ભવિષ્યમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે. પોતાની સેવા નિવૃત્તિના યાદગાર પ્રસંગે તેમણે આપેલ દાન બદલ સંસ્થાના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય વેળાએ પોતાના પ્રતિભાવમાં નિલેશ પટેલ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે આ સંસ્થા મારા માટે એક પરિવાર સમાન રહી છે. વર્ષો સુધી આ વિસ્તારના બાળકોને શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસનાર પટેલ સાહેબની વિદાય વેળાએ સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની આંખો પણ ભીની થઈ હતી. કાર્યક્રમના અંતે સૌએ સાહેબનું નિવૃત્ત જીવન સુખમય, આરોગ્યપ્રદ અને શાંતિમય બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ સર્જાયો છે, જેમાં જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના SC સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષના પાયાના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટીના ગ્રુપમાં 'અલવિદા' કહીને એક વિસ્તૃત મેસેજ લખ્યો છે, જેમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરીયા જેવા દિગ્ગજ નેતાઓ પર સીધા પ્રહારો કર્યા છે. પક્ષને મજબૂત કરવામાં ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટુંવર્ષ 2018થી પક્ષને મજબૂત બનાવવા નિઃસ્વાર્થ ભાવે કામ કરનારા ધીરુભાઈએ આક્ષેપ કર્યો છે કે, આ પાર્ટીમાં મુસલમાન સમાજ, કોળી સમાજ અને દલિત સમાજની કોઈ કિંમત નથી, જ્યારે કે પક્ષને મજબૂત કરવામાં આ ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. તેમણે ગોપાલ ઇટાલિયાને એક 'મોટા કલાકાર' ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે, ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠીયા આખી પાર્ટીનું સંચાલન કરે છે અને રાજુ બોરખતરીયા તેમનો ખાસ ચેલો બનીને રૂપિયાનો તોડ કરવાનું કામ કરે છે. લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધીધીરુભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સ્તરે નેતાઓએ તનતોડ ઉઘરાણાં કર્યા છે અને લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધી છે. માળિયા, માણાવદર અને વિસાવદર જેવા તાલુકાઓમાં ટિકિટોની વહેંચણીમાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે ભાજપ સાથે તુલના કરતા કહ્યું કે ભાજપે 30-35 વર્ષ શાસન કર્યા પછી ભ્રષ્ટાચાર કર્યો હશે પરંતુ, આમ આદમી પાર્ટીમાં તો હજી માંડ સાડા ત્રણ ધારાસભ્યો જ આવ્યા છે ત્યાં અત્યારથી જ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે. જો આ પાર્ટી જિલ્લા પંચાયતોમાં સત્તા પર આવશે તો લોકો ફરીથી ભાજપના વખાણ કરવા મજબૂર બનશે એવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પક્ષના ધારાસભ્યના ત્રણ કાર્યાલયો હોવા સામે સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે જો ધારાસભ્યનો પગાર દોઢ લાખ હોય અને એક કાર્યાલયનો ખર્ચ મહિને એક લાખ થતો હોય, તો બાકીના લાખો રૂપિયા ક્યાંથી આવે છે તેની તપાસ જનતાએ પોતાના આત્માને જગાડીને કરવી જોઈએ. ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યાના આક્ષેપગંભીર આક્ષેપો કરતા ધીરુભાઈ ગોહિલે વધુમાં કહ્યું કે, ઈસુદાન ગઢવીથી લઈને નીચે સુધીની આખી ટીમ ભ્રષ્ટાચારી છે અને તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ લડી રહ્યા છે. તેમણે દલિત, મુસ્લિમ અને કોળી સમાજને ચેતવણી આપતા કહ્યું કે, 2018માં જ્યારે પક્ષમાં મજૂર વર્ગ જોડાયો ત્યારે કેજરીવાલના વિચારો અને ભાષણોથી પ્રભાવિત થઈને લોકો આવ્યા હતા પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. 2025ની જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપને જીતાડવા માટે આમ આદમી પાર્ટીએ મોટા ષડયંત્રો કર્યા હતા અને તેના તેઓ પોતે પુરાવા છે. રાજુ બોરખતરીયાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાના ઈશારે વહીવટો કર્યા હતા અને એક વોર્ડમાં ત્રણ ઉમેદવારોની જગ્યાએ માંડ એક જ ઉમેદવાર મૂકવા દીધા હતા. વધુમાં, જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પક્ષના નેતાઓએ ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યા હોવાના પણ તેમણે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયાવિસાવદર વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે ખુલાસો કર્યો કે, જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડ્યા ત્યારે અનેક લોકોએ તેમને આર્થિક મદદ કરી હતી અને અઢળક ખર્ચ કર્યો હતો. હવે જે લોકોએ ગોપાલ ઇટાલિયાને આર્થિક મદદ કરી હતી, તેઓ પક્ષ પર હાવી થઈ ગયા છે અને વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો એક કરનારા જૂના કાર્યકર્તાઓને કાપી નાખવામાં આવ્યા છે. પક્ષની આ એક પોલિસી બની ગઈ છે કે, જે રૂપિયા આપે તેને જ જિલ્લા અને તાલુકા પંચાયતની ટિકિટો ફાળવવી. ધીરુભાઈએ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ રાજકીય લાલચમાં નથી કે નથી તેમને કોઈ પક્ષ તરફથી આમંત્રણ મળ્યું, પરંતુ પક્ષમાં થઈ રહેલો અન્યાય હવે સહન ન થતા તેમણે બહાર આવવાનો નિર્ણય લીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસમાં ન ચાલ્યા હોય અને ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયા છે અને આ લોકો લાલચ સિવાય બીજું કંઈ જોતા નથી. ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છેધીરુભાઈ ગોહિલના મતે આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને અરવિંદ કેજરીવાલના શિક્ષણ-આરોગ્યના મુદ્દાઓ કદાચ સારા હોઈ શકે, પરંતુ ગુજરાત પ્રદેશમાં ઈશુદાન ગઢવી અને તેમની નીચેની ટીમ એક નંબરના 'ચોર ચપાટા' અને 'લુચ્ચા' માણસોનું સંગઠન છે. તેમણે જનતાને અપીલ કરી છે કે, આવા લુચ્ચા-લફંગાઓની સરકાર ન રચાવી જોઈએ અને ચૂંટણીમાં ઉમેદવારની ચકાસણી કરીને જ મતદાન કરવું જોઈએ. આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ફ્લોપ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, આવનારા સમયમાં તેઓ વીડિયો જાહેર કરીને પક્ષની વધુ પોલ ખોલશે. પક્ષના પાયાના કાર્યકર્તાઓને ફોન કરીને પૂછશો તો ખબર પડશે કે દરેક સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. અંતમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છે અને તેમણે શેર કરેલા મેસેજને એક-એક માણસ સુધી પહોંચાડી જનતાને જાગૃત થવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં મજબૂર થઈને ફરી ભાજપના વખાણ ન કરવા પડે.
પાટણ સ્થિત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ પાંચ દિવસીય હસ્તપ્રત પરિચય વર્કશોપનો પ્રારંભ થશે. આ વર્કશોપ સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે. તેનું આયોજન અમદાવાદના શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના 'જ્ઞાન ભારતમ મિશન'ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના ૭ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ થઈ હતી. આગમ પ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજીની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના વિખ્યાત સાહિત્યકાર અને તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહમંત્રી કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી. તે પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા હેમ સારસ્વત સત્ર યોજાયું હતું. આ જ્ઞાનમંદિરમાં ભારતીય પરંપરાઓની વિવિધ વિષયક ૨૭ હજારથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. આ વર્કશોપનો આરંભ જૈનાચાર્ય જગચ્ચંદ્ર સૂરી (ડહેલાવાળા) ની નિશ્રામાં થશે. શ્રુત રત્નાકર ટ્રસ્ટના ડાયરેક્ટર અને પ્રસિદ્ધ જૈન વિદ્વાન ડો. જીતેન્દ્રભાઈ બી. શાહ હસ્તપ્રત વિજ્ઞાન વિષયક મુખ્ય વ્યાખ્યાન આપશે. પાંચ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં હસ્તપ્રતશાસ્ત્રના અન્ય વિદ્વાનો અને સંશોધન વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. આ વર્કશોપનો મુખ્ય હેતુ પ્રાચીન લિપિઓ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાનોની નવી પેઢી તૈયાર કરવાનો છે. આનાથી ભારતીય વિદ્યાને વિશ્વ સ્તરે ઉજાગર કરી શકાશે. પાટણની જ્ઞાન-પ્રેમી જનતાને આ અનોખી કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગીર સોમનાથમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત:કેટરિંગ ઉદ્યોગ સંકટમાં, એસોસિએશને સરકારને રજૂઆત કરી
ગીર સોમનાથ જિલ્લામાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમનાથ કેટરિંગ એસોસિએશને જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલન જોશીની આગેવાની હેઠળ, કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો અને કામદારોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં વર્તમાન વિકટ સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે કેટરિંગ વ્યવસાય વર્ષ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે, અંદાજે ૧૨૦ થી ૧૪૦ દિવસ, સક્રિય રહે છે. આ ટૂંકા ગાળા દરમિયાન હજારો અકુશળ અને આર્થિક રીતે પછાત પરિવારોને રોજગારી મળે છે, જેમના ભરણપોષણનો આધાર આ વ્યવસાય પર રહેલો છે. જોકે, હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયો છે. ગેસના અભાવે ઓર્ડરો રદ થઈ રહ્યા છે અને અનેક કામદારોને કામ વગર ઘરે બેસવાની ફરજ પડી રહી છે. એસોસિએશને વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ પરિસ્થિતિએ અમને અને અમારી સાથે જોડાયેલા પરિવારોને રાતોરાત આર્થિક સંકટમાં ધકેલી દીધા છે.” એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે અન્ય સંસ્થાઓ માટે જે ઉદારતા દાખવી છે, તેવી જ સંવેદનશીલતા સાથે કેટરિંગ ઉદ્યોગ માટે પણ તાત્કાલિક ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવો, ખાસ ક્વોટા ફાળવવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે. અંતમાં, જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને કરેલી આ રજૂઆતમાં એસોસિએશને વિનંતી કરી છે કે આ આપાતકાલીન સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. આનાથી કેટરિંગ વ્યવસાય ફરી ગતિ પકડી શકશે અને હજારો પરિવારોનું જીવનચક્ર ફરી સ્થિર થઈ શકશે.
મસીતીયા ગામેથી એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો:મધ્યપ્રદેશના સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ કરી
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કાર્યરત હતી. પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમને બાતમીદારો દ્વારા સચોટ માહિતી મળી હતી. LCB સ્ટાફના કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલી સંયુક્ત હકીકતના આધારે મસીતીયા ગામે દરગાહ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન બસીરભાઈ ઉર્ફે બસલો સિદીકભાઈ જુસબભાઈ મેકાણી (રહે. મસીતીયા ગામ, કમરૂદીન નગર) નામના શખ્સને ₹૧૦,૦૦૦ ની કિંમતના લાયસન્સ વગરના દેશી તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ હથિયાર મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના મનોજ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હવે મનોજને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને તેના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદે ફરિયાદ નોંધાવતા, એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતર દ્વારા હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક ભંગાણ સર્જાયું છે. પક્ષના સક્રિય મહિલા કાર્યકર માધવી રાજપૂત સહિત અનેક મહિલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લામાં AAP માટે મુશ્કેલીઓ વધી રહી છે. મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પક્ષમાં અસંતોષ સપાટી પર આવ્યો છે, જેના કારણે પક્ષના સંગઠનમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ છે. માધવી રાજપૂત, જેઓ સુરેન્દ્રનગરમાં AAP ના સક્રિય ચહેરા તરીકે જાણીતા હતા, તેમણે અન્ય મહિલા કાર્યકરો સાથે પક્ષ છોડ્યો છે. રાજીનામા આપનાર કાર્યકરોનો આરોપ છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાયાના અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વધુ રાજીનામા પડવાની શક્યતા છે. પક્ષના ટોચના નેતાઓ હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાર્યકરોની નારાજગી જોતા ડેમેજ કંટ્રોલ મુશ્કેલ જણાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તાર મનાય છે. AAP માં થયેલા આ ભંગાણનો સીધો ફાયદો ભાજપ કે કોંગ્રેસને મળી શકે છે. સ્થાનિક સ્તરે સક્રિય કાર્યકરો પક્ષ છોડી રહ્યા હોવાથી ચૂંટણી પ્રચાર અને બૂથ મેનેજમેન્ટ પર તેની મોટી અસર પડવાની સંભાવના છે.
વલસાડ જિલ્લામાં પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે જિલ્લા સ્તરે ડાયરેક્ટર DRDA ને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આચારસંહિતાના ભંગને રોકવા માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને જવાબદારી સોંપાઈ છે. શહેરી વિસ્તારોમાં, વાપી કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (Dy.MC) અને ઉમરગામ નગરપાલિકામાં ચીફ ઓફિસર (CO) ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત કુલ ૧૨૩૩ મતદાન મથકો પર ૧૦.૩૦ લાખ મતદારો મતદાન કરશે. તમામ મતદાન મથકો પર હવા-ઉજાસ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૮ હજારથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે, દરેક તાલુકા અને નગરપાલિકાના અધિકારીઓ દરરોજ સાંજે પોતાનો રિપોર્ટ ડાયરેક્ટર DRDA ને સુપરત કરશે. આ અહેવાલ ત્યાંથી DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) અને અંતે રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવશે. આ ચૂંટણીની એક મુખ્ય વિશેષતા એ છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ EVM નો ઉપયોગ કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારો વોર્ડમાં વહેંચાયેલા હોય છે, જ્યાં મતદારોએ દરેક વોર્ડમાંથી ચાર ઉમેદવારો માટે એકસાથે ચાર મત આપવાના રહેશે. આ પ્રક્રિયા સમજાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ ૧૦.૨૦ લાખથી વધુ મતદારો નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને મહત્તમ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના વેલ્ડિંગ કામ દરમિયાન એક શ્રમિકનું મોત થયું હતું. ઘટના બાદ કંપનીના જવાબદાર અધિકારીઓ શ્રમિકની લાશને હોસ્પિટલ મૂકીને ફરાર થઈ ગયા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીમાં સુરક્ષા સાધનો કે સાવચેતી વગર ટેન્કરનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક રાજેશ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કંપનીના કર્મચારીઓ રાજેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યાના કલાક બાદ પણ કંપનીનો કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર નહોતો. મૃતકના ભાઈ મિતેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મારા ભાઈની લાશ ત્યાં બિનવારસી હાલતમાં પડી હતી. મેનેજર કે માલિક કોઈ ત્યાં હાજર નહોતું. પરિવારજનોએ કંપની મેનેજમેન્ટ અને સેફ્ટી ઓફિસર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સુપરવાઈઝર દ્વારા કોઈ પણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકને જોખમી કામમાં લગાડવામાં આવ્યો હોવાથી આ દુર્ઘટના બની હોવાનું મનાય છે. હાલમાં પરિવારજનો કંપનીના માલિક અને મેનેજર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અડગ છે. બનાવની ગંભીરતાને જોતા ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કંપનીમાં સુરક્ષાના ધોરણો જળવાયા હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે તપાસ બાદ જે પણ જવાબદાર હશે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. કંપની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી કે સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે આ મામલે ચીખલીના પીઆઈ પી બી પટેલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તો અકસ્માત મોત મામલે તપાસ શરૂ છે તપાસ કરતા જો કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરશો.
સુરત, જે વિશ્વના 90%થી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે, તે હવે વૈશ્વિક ટ્રેડિંગ હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (SIDC) દ્વારા સંયુક્ત રીતે 'ઈન્ડિયા રફ ડાયમંડ શો' (IRDS) લોન્ચ કરવામાં આવ્યો છે. આ શો વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ, સુરત ડાયમંડ બુર્સ (SDB) ખાતે 6 એપ્રિલથી 10 મે, 2026 સુધી ચાલશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક રફ હીરાના સપ્લાયને સીધો ભારતીય મેન્યુફેક્ચરર્સ સુધી પહોંચાડવાનો છે, જેથી ટ્રેડિંગ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટે. 1000 કરોડના રફ હીરાનું પ્રદર્શનઆ શો ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) હીરા ઉત્પાદકો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. અગાઉ, રફ હીરા ખરીદવા માટે વેપારીઓએ એન્ટવર્પ, દુબઈ કે તેલ અવીવ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર જવું પડતું હતું, જેનો ખર્ચ ઘણો વધારે રહેતો હતો. IRDS દ્વારા હવે સ્ટાર જેમ્સ અને કોઈન ઈન્ટરનેશનલ જેવી દિગ્ગજ ગ્લોબલ કંપનીઓ સુરતમાં જ રફ હીરાના ટેન્ડર ભરશે. અંદાજે 1000 કરોડ રૂપિયા (USD 100 મિલિયન) ના રફ હીરાનું અહીં પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારોની સ્પર્ધાત્મકતા વધારશે. GJEPC ચેરમેન કિરીટ ભણસાલીનું નિવેદનGJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઈન્ડિયા રફ ડાયમંડ શો એ વૈશ્વિક સપ્લાયને ભારતના મેન્યુફેક્ચરિંગ બેઝની નજીક લાવવાનું એક નિર્ણાયક પગલું છે. દેશની અંદર જ પારદર્શક ટેન્ડરિંગ પ્લેટફોર્મ બનાવીને અમે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ આપી રહ્યા છીએ. આનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ખાસ કરીને MSME ક્ષેત્રના રત્નકલાકારો વધુ મજબૂત બનશે. આ પહેલ ભારતને માત્ર મેન્યુફેક્ચરિંગ લીડર જ નહીં, પણ ગ્લોબલ ટ્રેડિંગ હબ તરીકે પણ સ્થાપિત કરશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને ટર્નઅરાઉન્ડ સમયમાં સુધારો થશેગુજરાત GJEPCના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સવાણીયાએ ઉમેર્યું કે, સુરતમાં આ શો યોજવાથી હીરા ઉદ્યોગની કાર્યક્ષમતામાં મોટો ઉછાળો આવશે. રફ હીરાની સીધી ઉપલબ્ધતાને કારણે લોજિસ્ટિક્સ પાછળ થતો સમય અને નાણાં બંને બચશે. દર અઠવાડિયે 250 થી વધુ મેન્યુફેક્ચરર્સ આ પ્રક્રિયામાં ભાગ લેશે, જેનાથી આખા મહિના દરમિયાન 1000 થી વધુ એકમોને લાભ મળશે. આનાથી સ્થાનિક રત્નકલાકારોને સીધો માલ મળશે અને ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનશે, જે આખરે 'બ્રાન્ડ ઈન્ડિયા'ને મજબૂત કરશે. વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સુરતનું વર્ચસ્વ વધશેભારત હાલમાં વિશ્વના 90% રફ હીરા પર પ્રોસેસિંગ કરે છે, છતાં મોટાભાગનું ટ્રેડિંગ વિદેશી બજારોમાં થાય છે. IRDS આ સ્થિતિ બદલવા માટેનો એક વ્યૂહાત્મક હસ્તક્ષેપ છે. ડાયમંડ પેનલના કન્વીનર અનૂપ મહેતાના મતે, આ પ્લેટફોર્મ હીરાની ખરીદીમાં પારદર્શિતા લાવશે અને કિંમતોનું માળખું વ્યવસ્થિત કરશે. 1966માં સ્થપાયેલી GJEPC દ્વારા લેવાયેલું આ પગલું ભારતના હીરા ઉદ્યોગને સોર્સિંગથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની આખી 'વેલ્યુ ચેઈન'માં મોખરે લાવશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 16 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફીની ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં સંગઠિત ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જામનગર પોલીસે બંને ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 46 ગુના અને અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 52 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. અસલમ કરીમભાઈ ખીલજી ગેંગના કુલ 18 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફીની ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે, જે પૈકી 8 આરોપીઓ હાલ જેલમાં છે અને એક આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે. ગઈકાલે ઝડપાયેલા કુલ 14 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, તમામને સાત દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકો માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો ધમધમાટ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, આજ સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થતા જ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી હતી. વહેલી સવારથી જ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિવિધ ઝોન ઓફિસો ખાતે ફોર્મ લેવા માટે લાઈનો લાગી હતી. ફોર્મ વિતરણના પહેલા જ દિવસે દાવેદારો 500 ફોર્મ લઇ ગયાસ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવા માટે થનગની રહેલા ઉમેદવારો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ફોર્મ વિતરણના પહેલા જ દિવસે સુરત મહાનગર પાલિકામાં 500થી વધુ ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડો સૂચવે છે કે આ વખતે પણ ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ અને રસાકસીભર્યો રહેવાનો છે. ઉમેદવારો પક્ષમાંથી ટિકિટની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ પૂર્વ તૈયારી રૂપે ફોર્મ મેળવી રહ્યા છે. વહીવટી તંત્રની વ્યૂહરચના અને વ્યવસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડ હોવાથી વહીવટી સરળતા માટે ત્રણ વોર્ડ દીઠ એક ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આમ, કુલ 10 ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારો પોતાના ફોર્મ રજૂ કરી શકશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 9 સ્થળોએ અને તાલુકા પંચાયતની 204 બેઠકો માટે 22 સ્થળોએ ફોર્મ સ્વીકારવાની અને વિતરણ કરવાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ અને ચકાસણીચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારી ફોર્મ ભરવાની આ પ્રક્રિયા આગામી 11 એપ્રિલ સુધી ચાલશે. આ મુદત પૂર્ણ થયા બાદ રજૂ થયેલા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ માન્ય ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે ઉમેદવારો ફોર્મ ખેંચવા માંગતા હશે તેમને પણ નિયત સમય આપવામાં આવશે, જે બાદ જંગનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે અને રાજકીય ગણિતો મંડાશે. ત્રિપાંખિયો જંગ અને રાજકીય પક્ષોની સજ્જતાસુરતના રાજકીય મેદાનમાં આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સત્તાધારી પક્ષ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અને ‘આપ’ પરિવર્તનના નામે મતો અંકે કરવા મેદાને પડ્યા છે. આ સિવાય અન્ય પ્રાદેશિક પક્ષો અને અપક્ષ લડવા માંગતા ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં ફોર્મની ખરીદી કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સુરતનું ગરમાયેલું રાજકારણહાલ તો સુરતનું રાજકારણ પૂરેપૂરું ગરમાયું છે અને 120 બેઠકો પર કબજો મેળવવા માટે દરેક પક્ષે પોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં જ્યારે પક્ષો દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ તેજ બનશે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે. વહીવટી તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
મોરબીમાં 13 PIની આંતરિક બદલી:એસપી દ્વારા મોડી સાંજે આદેશ કરાયો
મોરબી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) દ્વારા મોડી સાંજે 13 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા PI તેમજ તાજેતરમાં જિલ્લામાં મુકાયેલા PI માટે કરવામાં આવી છે. બદલી કરાયેલા PI અને તેમની નવી નિમણૂકોવાય.બી. જાડેજા (લીવ રીઝર્વ)ને મોરબી એ ડિવિઝન, એન.એસ. ઘેટિયાને મોરબી તાલુકા, જે.ડી. સરવૈયાને મોરબી બી ડિવિઝન, જે.ડી. ઝાલાને ટંકારા, એસ.પી. જાડેજાને એલ.આઈ.બી. મોરબી, જે.એસ. ગામીતને લીવ રીઝર્વ, વાય.એસ. સિંધવને વાંકાનેર સિટી, ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખા, આર.સી. ગોહિલને એસઓજી-મોરબી. આ ઉપરાંત, એચ.વી. ઘેલાને મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન, એસ.કે. ચારેલને જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W મોરબી અને આર.એસ. પટેલને લીવ રીઝર્વ મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 90 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જનતાને આકર્ષવા માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15 જેટલા વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના શાસનમાં અલગ અલગ કામો આપીને કમલમ સુધી પૈસા પહોચાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયો હોવાનો દાવોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની શાસન છે. અનેક પ્રયાસ કરવા છતાં કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતી નથી. જેથી હવે મતદારોને આકર્ષવા માટે અને ફરી બેઠી થવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જનતાને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં નાગરિકો પાસે જઈને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. જેના આધારે નાગરિકોને 15 જેટલા વાયદા કરવા માટે વચન આપવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકોને પડેલી હાલાકી અંગે સૂચનો મંગાવાયા હતાપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને છેલ્લા 20 વર્ષમાં ભાજપની શાસન હોવા છતાં શું શું હાલાકીનો સામનો કરવો પડે છે એવા સૂચન માંગવામાં આવ્યા છે. જેથી નાગરિકો પાસેથી મળેલા સૂચનના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ વોર્ડમાં નાગરિકોના ઘર ઘર સુધી ગયા હતા. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને ફરી ગૌરવ અપાવવા માટે કામ કરવાનું પણ નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના ઉમેદવારો મેનિફેસ્ટોના આધારે નાગરિકોને મત માંગવા જશે. ટેકસની આવકનો પણ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથીવધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જુદી-જુદી બાબતોને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ જેનું ગૌરવ લે છે અને વિશ્વના મોટા-મોટા નેતાઓ આવે છે તે રિવરફ્રન્ટ કોંગ્રેસની દેન છે. તે સમય અને આ સમયમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. અત્યારે સરકાર પોતાની પાસે પાવર લઈ રહી છે. નાગરિક સમિતિઓ માત્ર કાગળ પર જ છે. તેમજ બહુમતી હોવા છતાં વિકાસની કામગીરીમાં કોઈ ભાગ ભજવતા નથી. ટેકસની આવકનો પણ યોગ્ય ઉપયોગ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથી. શહેરની સ્થિતિ ખૂબ કથળી રહી છે. લોકો ટેક્સ ભરે છે પરંતુ કોઈ સુવિધા તેમણે આપવામાં આવતી નથી. ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશુંનાગરિકો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી વાત લોકોએ કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનની ચૂંટણીથી સરકાર બનાવવાની નથી પરંતુ, અમારી સરકાર બન્યા બાદ અમદાવાદ કેવું હશે? તે વિચાર સાથે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમે ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશું. લોકોએ ખાડા જોયા, પાણી ભરાવવાની સમસ્યા જોઈ, નાગરિકોએ પીવાના પાણીની સમસ્યા જોઈ જે પૂરું કરવામાં આવતી નથી. જાહેરાત કરવા કરતા જાહેર હિતની વાત કરવામાં આવે તેવું અમે કહીએ છીએ. શહેરમાં ડિમોલિશન કરવામાં આવે છે છતાં નાગરિકો સાથે ભેદભાવ રાખીને તેમને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશુંમેનિફેસ્ટોની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોની જે અપેક્ષા છે તે અમે પૂરી કરવા માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યું છે. દરરોજ લોકોને સુવિધા માટે આંદોલન કરવા પડે છે. રમત ગમતના મેદાનો પણ અત્યારે રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કમિટમેન્ટમાં પાયાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેકસમાં 18 ટકાથી 5 ટકા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તો તેનું બજેટ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પાસેથી કરવામાં આવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી તે કરવામાં ન આવે એવું અમે કરીશું. અમદાવાદને ફરીથી ગૌરવ પ્રાપ્ત થાય તે માટે અમે કામ કરીશું. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશું. અમદાવાદ શહેરને સારું શહેર બનાવવા માટે કામ કરીશું. તેમજ જન ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશુંઅમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકોને કામ આપવામાં આવે છે તે લોકો કમલમ સુધી ફંડ પહોંચાડે છે. બે મહિના સુધી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રતિભાવ માંગવામાં આવ્યા હતા. જેથી વ્યાપક સર્વે કરીને તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તમામ વોર્ડમાં નાગરિકો સાથે મળી હતી. જેથી તેમના કેવા કેવા પ્રશ્નો છે તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી તેના આધારે નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે?
રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કર્યા છે, જ્યારે 3 PI ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ ફેરફારોથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સશક્ત બનશે તેવી અપેક્ષા છે. અગાઉ થયેલી બદલીઓના કારણે ખાલી પડેલી જગ્યાઓ પર, લિવ રિઝર્વમાં રહેલા 9 PI ને તાત્કાલિક અસરથી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ નિમણૂકોથી પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને વહીવટી ગતિમાં વધારો થશે. નવા નિયુક્ત PI અને તેમની ફાળવણી: એન.વી. હરિયાણી: કોડીનાર પોલીસ સ્ટેશન એ.જી. જાદવ: સોમનાથ મંદિર સુરક્ષા એમ.એ. ઝણકાર: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વી.એલ. ગાગીયા: તાલાળા પોલીસ સ્ટેશન વાય.બી. રાણા: સોમનાથ મંદિર સુરક્ષા ડી.બી. ગઢવી: મહિલા પોલીસ સ્ટેશન જે.કે. મોરી: ઉના પોલીસ સ્ટેશન એમ.જી. વસાવા: સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કે.એ. ચાવડા: ગીર ગઢડા પોલીસ સ્ટેશન 3 PIની આંતરિક બદલી: જિલ્લા પોલીસ તંત્રમાં ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે: એમ.કે. વણારકા: કોડીનારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જે.જે. પરમાર: નવાબંદર મરીન પોલીસ સ્ટેશન એમ.જી. પટેલ: સોમનાથ મરીનથી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (સેકન્ડ PI તરીકે) સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આ ફેરફારોથી પોલીસ તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. ખાસ કરીને સોમનાથ મંદિર સુરક્ષા, મરીન વિસ્તાર અને સાયબર ક્રાઈમ જેવા સંવેદનશીલ વિભાગોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં વધતા પ્રવાસન અને ધાર્મિક પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ ફેરફારોને પરિણામે નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે એક બેફામ ટેન્કર ચાલકે રિક્ષા, આઈસર અને એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતની વિગતો મુજબ, છાણી GSFC બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલી આ ઘટનામાં પહેલા રિક્ષાને જોરદાર ટક્કર વાગી હતી. ત્યારબાદ ટેન્કરે લાઈનમાં ઊભેલા આઈસર ટેમ્પો અને એક એક્ટિવા સવારને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ ભયાનક અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કિલોમીટરો સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસે ગઇકાલે(5 એપ્રિલ) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં અમદાવાદના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર-વડોદરાના 18-18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા છે. આ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસમાં શાંતિ જોવા મળી રહી છે, પરંતુ આ શાંતિ કોઈ મોટા રાજકીય યુદ્ધ પહેલાંની હોય તેવું લાગી રહ્યું છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વર્ષોથી અમદાવાદ કોર્પોરેશનમાં જેમનો સિક્કો ચાલતો હતો તેવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઘેરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ‘શિકારી ખુદ શિકાર હો ગયા’ આ ગણગણાટ હાલમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. તો આવો જાણીએ કે આખરે કોંગ્રેસમાં આ સ્થિતિ કેમ સર્જાઈ છે. ફરી એક વખત 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ની ચર્ચારાહુલ ગાંધીના 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ના નિવેદનની ચર્ચા ગુજરાતના રાજકારણમાં થતી રહે છે. ત્યારે આ વખતે શું ખરેખરમાં કોંગ્રેસ લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવીને કાર્યકરોને કોઈ મેસેજ આપવા જઈ રહી છે? આ એટલા માટે કંઇએ છીએ કારણ કે કોંગ્રેસના કદાવર નેતા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ઘેરાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠક4 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠકોનો દોર જામ્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારોને નક્કી કરવાના હતા. AICCના નવા બે સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવે રાજીવ ગાંધી ભવનમાં બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત પ્રદેશ કાર્યકારણીના લોકો હાજર રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલીઅમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારો નક્કી કરવાની આ બેઠક મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી. કાર્યકરોને આશાવાદ હતો કે બીજા દિવસે સવારે એટલે કે 5 એપ્રિલે ઉમેદવારોનું લિસ્ટ આવશે. પણ સવાર ને પછી બપોર ને પછી જાણવા મળ્યું કે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. રાત્રે 8 વાગ્યાની આસપાસ પ્રથમ યાદી જાહેર થઈપણ આ સમય પણ પસાર થઈ ગયો. દાવેદારો, કાર્યકરો ટેન્શનમાં આવ્યા કે આખરે યાદી અટકી છે ક્યાં? ત્યાં રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી. યાદી જાહેર થતાંની સાથે જ કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ અને થોડી જ વારમાં ગણગણાટ જોવા મળ્યો. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ વચ્ચે કાર્યકરોના મોઢે એ પણ સાંભળવા મળ્યું કે આખરે આ યાદીમાં ચાલ્યું કોનું? યાદીનું એનાલિસિસ અને કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આમ તો પ્રથમ યાદી બેલેન્સ છે અને દરેકને સાચવી લેવાયા છે અને તેનું પરિણામ એ પણ છે કે યાદી જાહેર થયાના 24 કલાક જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી કોઈ એવો મોટો વિરોધ વંટોળ જોવા મળ્યો નથી. આ બધા વચ્ચે એક વાત જાણવા મળી અને તે ખૂબજ ચોંકાવનારી હતી. અને તે વાત હતી કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા એવા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની... શૈલેષ પરમાર-હિંમતસિંહ પર નકેલ કસાઈ?કહેવાય છે કે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની તૂતી બોલે છે. કોંગ્રેસના જે પણ કોર્પોરેટરો જીતીને આવે છે તે મોટાભાગે આ બે નેતાના વિધાનસભા વિસ્તારમાંથી જ જીતીને આવે છે. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ જીવંત છે અને તેમાં પણ શૈલેષ પરમાર અને હિંમતસિંહના વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. કોંગ્રેસના 90 ટકા કોર્પોરેટરો આ બંને નેતાના વિધાનસભા વિસ્તાર અથવા તો તેની આસપાસના વિસ્તારમાંથી જીતીને આવે છે. પણ આ વખતે ક્યાંક આ બંને દિગ્ગજો પર નકેલ કસાઈ હોવાની માહિતી કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળી રહી છે. તો આવો જાણીએ કોંગ્રેસની પ્રથમ યાદીની ઈન્સાઈડ સ્ટોરી... પ્રથમ યાદીમાં છૂપાયેલા છે કેટલાક પેચસામાન્ય રીતે કોંગ્રેસમાં અમદાવાદ કોર્પોરેશનની જેટલી પણ યાદી જાહેર થાય તે યાદીમાં સામાન્ય રીતે શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ જૂથની મોટાભાગની ટિકિટ પ્રથમ યાદીમાં જ જાહેર થઈ જાય છે, પરંતુ આ વખતેની યાદીમાં સ્થિતિ કઇંક અલગ જોવા મળી રહી છે. શૈલેષ પરમાર-હિંમતસિંહના ખાસ માણસોના નામ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધાકોંગ્રેસની અમદાવાદની પ્રથમ યાદીમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહના ખાસ માણસોના નામ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધા છે. જે એ વાતનો સંકેત છે કે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં ‘SOMETHING IS WRONG’. તો આવો હવે એ જાણીએ કે અમદાવાદ કોર્પોરેશનની કંઈ બેઠક અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરી છે અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે? આ જાણતા પહેલાં સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોના આંતરિક રાજકારણ વિશે જાણી લઇએ. સામાન્ય રીતે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમારનો દબદબો છે પણ હિંમતસિંહ પણ શૈલેષ પરમારથી કોઈ કમ નથી. કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પોત-પોતાના માણસોને ‘વ્યવસ્થિત’ રીતે સાચવી લે છે, સાથે જ અન્ય બેઠકો પર પણ પોતાના માણસોની ગોઠવણ કરી લે છે. અહીં એક વાત ચોક્કસથી કરવી પડે કે આ બંને નેતાઓએ આપેલી ટિકિટોમાંથી મોટાભાગે તેઓ કોંગ્રેસને એકાદ કિસ્સાને બાદ કરતા જીતાડી પણ દે છે અને અમદાવાદમાં કોંગ્રેસને જીવંત રાખે છે. અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરેલી બેઠક અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે તે જાણીએ…ગોમતીપુરમાં ચાવડાએ પેરાશૂટ ઉમેદવાર મૂકી નાક દબાવ્યુંગોમતીપુર વોર્ડ શૈલેષ પરમારના પિતા મનુભાઈના સમયથી પરમાર પરિવાર માટે ખાસ રહ્યો છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમારે હંમેશા પોતાના અંગત માણસોને જ ટિકિટ અપાવી છે અને તેમણે જીતાડ્યા પણ છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમાર આ વખતે નીતિન દલસાણિયાને ટિકિટ આપવા માગે છે. આ દાવેદાર શૈલેષ પરમારના એકદમ વિશ્વાસુ એવા બાબુ દલસાણિયાના પુત્ર છે.બાબુ દલસાણિયાનું તાજેતરમાં જ અવસાન થયું છે. ગોમતીપુરમાં ચાવડા ‘પેરાશૂટ’ ઉમેદવારના પક્ષમાંઆ બેઠક પર અમિત ચાવડાએ હિતેશ પરમાર નામના પેરાશૂટ ઉમેદવારને ઉતારી શૈલેષ પરમારને ઉંઘતા ઝડપી લીધા છે. પેરાશૂટ એટલા માટે કેમ કે તેઓ વર્ષ 2015માં NCPમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હારી ગયા હતા. અને જો તેઓ ટિકિટ લઈને આવે તો ગોમતીપુર વોર્ડમાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળે તેમ છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો પણ રેસમાંપરમાર માટે અહીં માત્ર હિતેશ પરમાર જ નહીં પણ તેમના પોતાના અંગત કાર્યકરો પણ ટેન્શન ઉભું કરી રહ્યા છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી પણ એક સંપ થઈને પોતાનામાંથી કોઈ એકને ટિકિટ મળે તે માટે શેલૈષ પરમાર સાથે સતત બેઠકો કરી દબાણ લાવી રહ્યા છે. આ બધા વિવાદ વચ્ચે ગોમતીપુર વોર્ડમાંથી એક પણ ટિકિટ જાહેર થઈ શકી નથી. ઈન્ડિયા કોલોની વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરની પત્નીની ટિકિટ ફસાઈશૈલેષ પરમારના અન્ય એક ખાસ માણસ એવા પૂર્વ કોર્પોરેટર યશવંત યોગીના પત્ની પ્રેમિલાબેનની ટિકિટ પણ હોલ્ડ પર છે. પ્રેમિલાબેન યોગીએ આ વખતે ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી દાવેદારી કરી છે અને તેમને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે પણ ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી બે ટિકિટની જાહેરાત થઈ છે અને પ્રેમિલાબેનની ટિકિટ હોલ્ડ પર જતી રહી છે. દાણીલીમડામાં એક જ નામ જાહેર થયુંહવે વાત કરીએ શૈલેષ પરમારના વોર્ડ એવા દાણીલીમડાની...અહીં પણ શૈલેષ પરમારે આખી પેનલના નામ આપી દીધા, પરંતુ શહેઝાદ ખાન પઠાણ સિવાય કોઈનું પણ નામ જાહેર થયુ નથી. શૈલેષ પરમારની પસંદ મનોજ રેવરઅહીં એસસી અનામત બેઠક પર મનોજ રેવર અને ડી.કે.સોલંકી વચ્ચે અંતિમ ઘડીની ફાઇટ ચાલી રહી છે. ડી.કે.સોલંકી કોંગ્રેસના જૂના કાર્યકર અને જૂના જોગી છે. જો કે શૈલેષ પરમારની પસંદ મનોજ રેવર હોવાથી તેમની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે. કમળા ચાવડા-તસ્લીમ તીરમીઝીની ટિકિટ માટે ભરતસિંહનું ‘કમિટમેન્ટ’શૈલેષ પરમાર અમદાવાદ કોર્પોરેશનમાં તેમના જૂથના વિરોધી જૂથના પૂર્વ કોર્પોરેટર એવા રાજશ્રી કેસરી(ચાંદખેડા) અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝી(બહેરામપુરા)ની ટિકિટની વિરુદ્ધમાં છે, જેમાં રાજશ્રી કેસરીની ટિકિટ પહેલા લિસ્ટમાં જાહેર થઈ ગઈ છે અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝીની ટિકિટ માટે અમિત ચાવડા-ભરતસિંહ સોલંકીનું ‘કમિટમેન્ટ’ છે એટલે અહીં પણ પેચ ફસાયો છે. હવે એ જાણીએ કે હિંમતસિંહના ખાસ માણસોની ટિકિટ કેમ હોલ્ડ પર? ભાવેશ ગુર્જરનું નામ ‘હોલ્ડ’હિંમતસિંહ અમરાઈવાડી વોર્ડમાં ભાવેશ ગુર્જરને ટિકિટ અપાવવા માગે છે. અમરાઈવાડી વોર્ડ સમિતિ પણ ભાવેશ ગુર્જરની તરફેણમાં છે. પ્રથમ યાદીમાં 4માંથી 3 નામ જાહેર કરી માત્ર ભાવેશ ગુર્જરનું નામ અમિત ચાવડાએ હોલ્ડ પર મૂકી દીધું છે. સાથે જ અમિત ચાવડા જ્ઞાનપ્રકાશ તિવારીના નામની વિચારણા કરવા પણ કહી રહ્યા છે. પક્ષપલ્ટુ દિનેશ શર્માના માણસ માટે બાપુનગરમાં પેચ ફસાયોબાપુનગર વોર્ડમાં પણ જયમન શર્માના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જયમન શર્મા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દિનેશ શર્મા જૂથના છે. અહીં હિંમતસિંહ જયમન શર્મા સિવાય અન્ય કોઈ પણ નામ સ્વીકારવા તૈયાર છે તેમ છતાં બાપુનગર વોર્ડની તમામ બેઠકને હોલ્ડ કરી દેવાઈ છે. ઝુલ્ફિકારને ગોમતીપુરથી સરસપુરમાં શિફ્ટ કરવા છેસરસપુર વોર્ડમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વોર્ડમાં શૈલેષ પરમાર ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર અને વિરોધી જૂથના ઝુલ્ફિકારખાન તૌફિકખાન પઠાણને ગોમતીપુરથી ખસેડી ચૂંટણી લડાવવા માંગે છે,જેથી તેમના ખાસ ગણાતા એવા સાજીદ ખત્રીને ટિકિટ આપી શકે. આ સમીકરણથી ઝુલ્ફિકારખાન પણ નારાજ છે. તો બીજી તરફ હિંમતસિંહ પોતાના ખાસ નવાઝ શેખને ટિકિટ અપાવવા માંગતા હોવાથી સરસપુર વોર્ડમાં પણ પેચ ફસાયેલો છે. આ બધી માથાકૂટોથી કંટાળીને જ ઈકબાલ શેખે કોંગ્રેસ છોડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેવાણી-ઈન્દ્રવિજય ગોહિલ જૂથના નામ લિસ્ટમાંજીગ્નેશ મેવાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ડાર્ક હોર્સની જેમ ઉભરી રહ્યા છે. મેવાણી પણ અમદાવાદમાં 5-7 ટિકિટ માટે જબરદસ્ત લોબિંગ કરી રહ્યા છે. જેમાં પહેલી યાદીમાં રાગીન બેંકર સહિતના નામ આવી ગયા છે અને ચાંદખેડામાં સુબોધ કુમુદ સહિતના અન્ય વોર્ડમાં ટિકિટનું લોબિંગ કરી રહ્યા છે. તો ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલના પણ ચેતના ગૌરાંગ રાઠોડ, ગૌરાંગ મકવાણા, તિલકરામ તિવારી સહિતના નામો પહેલી યાદીમાં આવી ગયા છે અને અન્ય નામો માટે લોબિંગ ચાલી રહ્યું છે. સાથે જ લાલજી દેસાઈ પણ કેટલીક ટિકિટો માટે લોબિંગ કરતો જોવા મળી રહ્યા છે. બે દિગ્ગજોને ચારે બાજુથી ઘેર્યાકોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક તરફ ભરતસિંહ, અમિત ચાવડા, મેવાણી, લાલજી દેસાઈ, ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલ છે તો બીજી તરફ અલગ અલગ થઈને શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ પોત-પોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શૈલેષ પરમાર-હિંમતસિંહ જોડે હાર્ડ બાર્ગેનિંગ થશેકોંગ્રેસનું એક જૂથ એવું માની રહ્યું છે કે આ વખતે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલનું બહુ કંઈ ખાસ ઉપજશે નહીં, પહેલી યાદીમાં તેમના ખાસ માણસોની ટિકિટ હોલ્ડ પર મૂકી વિરોધી જૂથે તેમનું નાક દબાવી દીધું છે. હવે શૈલેષ પરમાર અને હિંમતસિંહ જોડે બહુ હાર્ડ બાર્ગેનિંગ કરવામાં આવશે, જેમાં તેમના ખાસ અનેક માણસો કપાય જશે. જેની અસર અમદાવાદ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાના પદ પર પણ પડશે. આખરે ધાર્યું તો ધણીનું જ થશેતો બીજી તરફ અન્ય જૂથ એવું માની રહ્યુ છે કે કોંગ્રેસને પૂર્વમાં માત્ર ને માત્ર શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે જ જીવતી રાખી છે. શૈલેષ પરમારના પિતા દિગ્ગજ કોંગ્રેસી નેતા હતા અને શૈલેષ પરમાર પણ દિલ્હી સુધી સંપર્ક ધરાવે છે. તો હિંમતસિંહ પટેલ પણ દિલ્હીના ઘણા સિનિયર નેતાઓ સાથે ડાયરેક્ટ ટચમાં છે અને સારો એવો ઘરોબો ધરાવે છે. જેથી પ્રદેશ લેવલેથી થોડું ઘણુ હેરાન કરાશે પણ આખરે ‘ધાર્યું તો ધણીનું જ થશે’

27 C