પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને બ્રહ્મ મહોત્સવ પર્વે 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાસ ચોકલેટનો અન્નકૂટ મંદિરમાં દર્શનાર્થે આવતા બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આવતીકાલે, 245 કિલો મીઠાઈ, ફરસાણ અને ફાગવાનો ભવ્ય અન્નકૂટ યોજાશે. આ અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. વર્ણીન્દ્રધામ મંદિર તેની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણીનો પ્રવાહ અને નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં રથ, ઘોડા અને હાથી જેવા સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા નીકળે છે. નીલકંઠધામની જેમ વર્ણીન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક પણ કરવામાં આવે છે. મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન ચાલે છે. આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા એક બંધ બંગલાને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર કુખ્યાત 'મોડેલ ગેંગ'ના સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ સામે અગાઉ 25થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સુભાષનગર સોસાયટીના બંગલામાં થઈ હતી ચોરીગત 22 માર્ચ, 2026ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડદોડ રોડ પરની સુભાષનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણ અજાણ્યા ઇસમો બંગલામાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ 1.74 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજાથી આરોપીઓને દબોચ્યાચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગતપોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં (1) રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપૂજક (ઉં.વ. 25), (2) કરણ ઉર્ફે કાળીયો વિનુભાઈ દેવીપૂજક (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. 1.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયોપોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચાંદીની ટ્રે (349 ગ્રામ), પાયલ, કડા, હાર, લોકેટ અને ચાંદીના 87 સિક્કાઓ કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી એપ્રિલિયા કંપનીની મોપેડ (GJ-05-SR-5179) પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,19,226ની ચાંદી અને 50,000ની મોપેડ મળી 1,69,226નો મુદ્દામાલ રિકવર થયો છે. મોપેડ પર ફરતા અને બંધ બંગલા શોધતાઆરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ તેમના ત્રીજા સાગરીત સંજુ ઉર્ફે કાલીયા સાથે મળીને શહેરના પોશ વિસ્તારોમાં મોપેડ પર રેકી કરતા હતા. જે બંગલામાં લાઈટો બંધ હોય કે તાળું મારેલું હોય તેને નિશાન બનાવતા હતા. સુભાષ નગરના બંગલામાં પણ તેઓએ મધરાતે સળિયા વડે દરવાજો તોડી પલંગના ખાનામાંથી દાગીના ચોર્યા હતા. મુખ્ય આરોપી રોહિતનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો રોહિત ઉર્ફે મોડેલ રીઢો ગુનેગાર છે. તેની સામે સુરતના ઉમરા, અડાજણ, પાલ, રાંદેર, વેસુ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પોલીસે અગાઉ બે વખત (વર્ષ 2020 અને 2021માં) તેની સામે 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરી જેલભેગો કર્યો હતો.
ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ:હિંમતનગર DLSS ની ટ્વિંકલ હડુલાએ યોગદાન આપ્યું
છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રાજ્યને ગૌરવ પ્રાપ્ત થયું છે. મેડલ વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), મહિમા ચૌહાણ (દાહોદ), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. ખાસ કરીને હિંમતનગરની જિલ્લા કક્ષાની રમતગમત શાળા-DLSSની ખેલાડી હડુલા ટ્વિંકલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમના કોચ હેમલ વર્ધાનીના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 26 માર્ચ, ગુરુવારથી રાયપુર, છત્તીસગઢ ખાતે શરૂ થઈ હતી અને 30 માર્ચ સુધી ચાલશે. દેશભરમાંથી વિવિધ રમતોમાં કુલ 1400 ખેલાડીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે યોજાયેલી 4 X 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમ વિજયી બની અને ચારેય ખેલાડીઓને સિલ્વર મેડલ મળ્યા.
સુરતના પાસોદરા વિસ્તારમાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો. આ સાથે મહિલાએ પોતાની વેદના અને પડોશીઓના ત્રાસ અંગે રડતા રડતા પણ જણાવ્યું હતું. 32 વર્ષીય મહિલાએ તેમના પડોશી મહિલા, તેમના પતિ અને ભાઈના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વીડિયોમાં મહિલાની આપવીતી આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળી અલ્પા ટાંકનો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. હવે હું જે પણ કંઈ પગલું ભરી રહી છું, એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું, તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. પડોશી મહિલા ઘરનો કચરો વાળીને ફરિયાદી મહિલાના ઘર પાસે નાખી દેતીફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત આશરે છ મહિના પહેલા થઈ હતી. બિલ્ડિંગની લોબીમાં કચરા-પોતા કરવા જેવી સામાન્ય બાબતે પડોશી અલ્પાબેન સાથે તકરાર થઈ હતી. આ ઉપરાંત, બાલ્કનીમાં વરસાદનું પાણી ન આવે તે માટે લગાવેલી તાડપત્રીના પૈસા બાબતે પણ અલ્પાબેને ઝઘડો કર્યો હતો. અલ્પાબેન અવારનવાર ઘરનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતા હતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓને ફરિયાદી વિરુદ્ધ ચઢાવતા હતા. કચરો નાખવાનો વીડિયો બનાવી ગ્રુપમાં મૂક્યોને મામલો ઉગ્ર બન્યોજ્યારે આ કચરો નાખવાની હરકતનો વીડિયો બનાવી મહિલાના પતિએ બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અલ્પાબેનના ભાઈ નીલેશ પરમાર, પતિ શૈલેષ ટાંક અને એક અજાણ્યા શખ્સે ફરિયાદીના ઘરે આવીને ગંભીર ધમકીઓ આપી હતી. નીલેશ પરમારે વીડિયો કેમ બનાવે છે, તારા ટાંગા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ તેવી ગર્ભિત ધમકી આપી ફરિયાદીને ધક્કો પણ માર્યો હતો. આ શખ્સોએ મહિલાને તારા જેવા કેટલાય ભાડુઆત અહીંથી જતા રહ્યા છે કહી માનસિક દબાણ બનાવ્યું હતું. ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસપડોશીઓના સતત ત્રાસ અને દરરોજની ગાળાગાળીથી કંટાળી ગયેલા મહિલાએ ગતરોજ બપોરના 4 વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ અને પોતાની આપવીતી તેણે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને કરી હતી. ઘટનાની જાણ થતા તેમના પતિ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પડોશી મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવીલસકાણા પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે ત્રણ મુખ્ય આરોપીઓ અલ્પાબેન શૈલેષભાઇ ટાંક, શૈલેષભાઇ ટાંક અને નીલેશ પરમાર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી હતી. 'બોલ મારી બહુચર'ના નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યાબહુચરાજી મંદિરમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળતી હોય છે, પરંતુ ચૈત્રી આઠમની શાહી સવારીનું વિશેષ મહત્વ છે. નિજ મંદિરથી સવારી નીકળે તે પૂર્વે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માતાજીને શાહી ઠાઠ સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. બેન્ડવાજાના સૂર અને 'બોલ મારી બહુચર'ના ગગનભેદી નાદ સાથે માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા હતા. માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથાચૈત્ર માસને દૈવી શક્તિની ઉપાસનાનો માસ માનવામાં આવે છે અને તેમાં પણ આઠમના દિવસે પૂજા કરવાનું વિશેષ ફળ મળતું હોવાની માન્યતા છે. આ પરંપરા સાથે વડોદરાના ગાયકવાડ રાજવીઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ગાયકવાડી શાસનકાળથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ અહીં જીવંત છે.જેમાં માતાજીની સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા મુખ્ય છે. ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવ્યોમધ્યરાત્રિએ 12 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહમાં નવખંડ પલ્લીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક અને દિવ્ય દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના નાયબ વહીવટદાર સુરેશભાઈ ઠાકોર અને પૂજારી જનકભાઈ જોષીના જણાવ્યા અનુસાર આ દિવસે શક્તિની આરાધના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સમગ્ર બહુચરાજી પંથક આજે ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવને લઈ અફરાતફરી મચી ગઈ હતી, ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ફાયરે કાબૂ કરીઆ આગની ઘટના અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા જ ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. તમામ મટિરિયલ બળીને ખાખસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મોટા પ્રમાણમાં મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને વીજ કનેક્શન કાપી ફાયરે કામગીરી શરૂ કરી હતી. હજુ સુધી નુકસાનનો અંદાજ નથીઃ માલિકઆ અંગે કંપનીના માલિક નીલ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારી મેન કંપની પૂનામાં આવેલી છે, અમારે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે. અહીંયા રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ સુધી નુકસાનનો અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
ગીર સોમનાથ જિલ્લા સેવા સદનમાં ક્લાસ ટુ અધિકારી પરેશભાઈ હિંમતલાલ રવેસિયા અને તેમના પરિવારે ચૈત્ર માસ નિમિત્તે શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના વતની પરેશભાઈ રવેસિયા પરમ હનુમાન ભક્ત છે. આ અનુષ્ઠાન છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે. આ પાઠનું અનુષ્ઠાન બે દિવસ સુધી ચાલે છે, જેમાં સવારે 7:30 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે સાંજ સુધી શ્રીરામચરિત માનસના પાઠ કરવામાં આવે છે. આ સાથે હવન અને પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં આ પાઠ કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ યશસ્વી જીવન મેળવવા માટે આવા પાઠના અનુષ્ઠાનનો ઉલ્લેખ છે. આ ધાર્મિક કાર્યક્રમ કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગ્રાસિમ રેયોન ઇન્ડસ્ટ્રી ગેટ સામે, વેરાવલ, ગીર સોમનાથ ખાતે યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો, સ્નેહીજનો અને મંદિરે પધારતા હનુમાન ભક્તો સહભાગી થઈ ધન્યતા અનુભવે છે. પાઠ બાદ ફરાળ અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પરેશભાઈ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય સેવાના કાર્યોમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે.
રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ ટાળવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. નાણાં વિભાગને 8 દિવસમાં દરખાસ્ત રજૂ કરવી પડશેપરિપત્ર મુજબ, હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ 45 દિવસની અંદર કરવું ફરજીયાત રહેશે. ચુકાદા મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે, જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ખાતાના વડાએ 10 દિવસની અંદર દરખાસ્તની ચકાસણી પૂર્ણ કરવી પડશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવો અનિવાર્ય રહેશે. નિકાન ન થાય તો સંબંધિત વિભાગે કોર્ટમાં અરજી કરવી પડશેજો નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમયવધારા માટે ફરજીયાત અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાયપ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનરોને ઝડપી ન્યાય મળશેનાણાં વિભાગના આ પરિપત્રથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબા સમયથી બાકી રહેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે, તેમજ સરકારી વિભાગોની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત બનશે.
તિથલ દરિયાકિનારે પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે અત્યાધુનિક હાઇબ્રિડ સોલર સિસ્ટમ પોલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. રામનવમીના શુભ દિવસે સરપંચ રાજેશભાઈ દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ સૂર્યપ્રકાશ અને પવનચક્કી (વિન્ડ ટર્બાઇન) દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. આ પોલ પર સોલર પેનલ સાથે નાની પવનચક્કી પણ લગાવવામાં આવી છે. દરિયાકિનારે પવનની ગતિ વધુ હોવાથી, રાત્રિ દરમિયાન પણ વીજળીનું ઉત્પાદન સતત ચાલુ રહેશે, જે લાઇટોને કાર્યરત રાખશે. સુરક્ષાના હેતુથી, આ પોલ પર હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 24 કલાક વિસ્તારનું મોનિટરિંગ કરશે. આ લાઇટો અંધારું થતાં જ આપોઆપ ચાલુ થઈ જશે, જેનાથી માનવબળની જરૂરિયાત રહેશે નહીં અને કાર્યક્ષમતા વધશે. કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થતો હોવાથી ગ્રામ પંચાયત પર વીજળીના બિલનો કોઈ આર્થિક બોજ પડશે નહીં. આ નવી પહેલથી દરિયાકિનારે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક માછીમારોને સીધો ફાયદો થશે. સીસીટીવી કેમેરા દ્વારા અંધારામાં થતી ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખી શકાશે. ગ્રામજનોએ કલેક્ટર, DDO અને તંત્રના આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમથી તિથલ દરિયાકિનારા પર પ્રવાસનને પણ વેગ મળશે અને સુરક્ષામાં વધારો થશે.
પ્રકૃતિ અને પરમેશ્વરની સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરના કેમેરામાં કેદ થયેલા દૃશ્યોએ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર જંગલની બિલકુલ નજીક એક સાબર કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડ્યું હતું. આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે, ગિરનારના સુરક્ષિત ગણાતા જંગલ વિસ્તારમાં વન્યજીવો પ્લાસ્ટિક જેવા જીવલેણ પદાર્થો ખાવા મજબૂર બન્યા છે. વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવા ક્રૂર મજાક સમાનભાસ્કર રિપોર્ટર જ્યારે ભવનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની એક બાજુએ કચરાના ઢગલામાં એક સાબર મોઢું મારી રહ્યું હતું. નજીક જઈને જોતા માલૂમ પડ્યું કે, સાબર ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો આરોગી રહ્યું હતું. આટલું જ નહીં, ઝેરી પ્લાસ્ટિક આરોગ્યા બાદ આ વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરીને ભવનાથ તરફ જતા માર્ગ પર આંટાફેરા કરતું પણ નજરે પડ્યું હતું. લોકોની સતત અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાઓની ક્રૂર મજાક સમાન છે. પ્લાસ્ટિક વન્યજીવો માટે મોતનું કારણ બની શકેઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારને 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકના વપરાશ, ગંદકી ફેલાવવા અને વન્યજીવોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે. વન વિભાગ દ્વારા અવારનવાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાતો કરવામાં આવે છે અને પ્રવાસીઓને 'સુફિયાણી સલાહ' આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે, જે વન્યજીવો માટે મોતનું કારણ બની શકે છે. ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમઅગાઉ પણ સાબર પ્લાસ્ટિક ખાતા હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે, તેમ છતાં, વન વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પ્લાસ્ટિક જપ્ત કરવાના દાવાઓ વચ્ચે જંગલના દ્વાર પર જ આ પ્રકારની ગંદકી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સમયસર આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે અને પ્રવાસીઓ પર કડક નજર રાખવામાં નહીં આવે, તો ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા સામે કાર્યવાહી જરૂરીઆ વીડિયો બાદ હવે પર્યાવરણ પ્રેમીઓ માગ કરી રહ્યા છે કે, વન વિભાગ માત્ર કાગળ પરની વાતો છોડીને વાસ્તવિક ધરાતલ પર કામગીરી કરે. ઇકો-ઝોન વિસ્તારમાં જે લોકો કચરો ફેંકે છે તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી અબોલ વન્યજીવોને ઝેરી પ્લાસ્ટિકના મોતના મુખમાં જતા બચાવી શકાય. હાલ તો આ ઘટનાએ વન વિભાગની 'સબ સલામત'ની પોલ છતી કરી દીધી છે. આ પણ વાંચો… ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ, ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની અવરજવર છતાં એકપણ સાઇન બોર્ડ નહિ જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, વન આ પણ વાંચો… કચરામાં ખોરાક શોધતા હરણનો બે દિવસમાં બીજો વીડિયો વાઈરલ:પ્રકૃતિ પ્રેમીએ વનમંત્રીને ટ્વિટ કર્યું, ભવનાથમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદ
ભાસ્કર એક્સક્લુસિવ:કૌભાંડની સ્કીમ : 2 કરોડ ભરો, 63 કરોડ લઈ જાઓ
સરકારી બાબુઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે રાજ્યની તિજોરીને કેવી રીતે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, તેનો વધુ એક સનસનીખેજ ખુલાસો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ) ના માર્ચ 2024ના ઓડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓ - ખાસ કરીને જીએસટી (SGST), માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગના કારભારની પોલ ખોલવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ચાલતી લોલમલોલ બાબતે કેગમાં રહસ્યો ખુલ્યા છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં જવાબદાર વિભાગે હજુ પણ ગંભીરતા દાખવી નથી. બેદરકારી : ગાંધીધામ સ્ટેટ જીએસટી કચેરીમાં ટેક્સ ક્રેડિટ લેવાઈ ગઈ છતાં તંત્ર ઊંઘતું રહ્યું63.28 કરોડની તોતિંગ ટેક્સ ક્રેડિટનો અનિયમિત લાભ કોન્ટ્રાક્ટર પર મહેરબાની: 78.30 લાખની વધુ પડતી ચુકવણી કરાઈ સેવાઓની આયાત પર કરની 22.71 કરોડની ટૂંકી ચુકવણી 3100 ચો.મીટર જમીનમાં 14.90 લાખની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઈ
માનસ મુકુરાષ્ટક:ગુરૂના ચરણોમાં 68 તીર્થ - મોરારિ બાપુ
માધાપરમાં ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. ધીરજ મનજીભાઈ ડબાસીયા પરિવારના યજમાનપદે ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રોતા કથા શ્રવણ કરવા ઉમટ્યા હતા. બાપુએ કથામાં ગુરુનો મહિમા તેમજ સનાતન ધર્મ વિશે વાત કરી હતી. કોઈના ઉપકાર ના ભૂલવા જોઈએ તેમજ 68 તીરથ ગુરુના ચરણોમાં છે એવા ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ. રામ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી અનેક સાધુ, સંતો, અગ્રણીઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહંત મનોહર મહારાજ રામ જાનકી મઠ, સંત કલ્યાણદાસજી બાપુ ભજનીક તેમજ મોરારદાન પાયક અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, નાનજીભાઈ, વી. કે. પટેલ, ડો. રોનીત પી. શાહ, તુલસી સુજાન, પ્રહલાદસિંહ ગોહિલ, વિનોદભાઈ સોલંકી જજ વગેરે અગ્રણીઓ કથા શ્રવણમાં જોડાયા હતા. સમગ્ર કથા મંડપ ધાર્મિક નારાથી ગુંજી ઉઠ્યું હતું. માધાપર સહિત વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવા આપી રહ્યા છેમાધાપર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને દરરોજ અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. મોરારી બાપુએ ખાસ ભોજન કક્ષની મુલાકાત લીધી હતી અને ભોજન લીધું હતું. જેમાં મોટી સંખ્યામાં માધાપર ગામ તેમજ વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવાઓ આપી રહ્યા છે. જેમાં સેવા ભાવના સાથે માધાપરની બહેનો પણ જોડાઈ છે. બાપુએ તેમની સેવાઓ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
પોલીસ બેડમાં ફેરફાર:કચ્છ પોલીસ બેડામાં 20 PIની જિલ્લા બહાર બદલી
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેની વચ્ચે લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 મળી કુલ 20 પોલીસ ઇન્સ્પેક્ટર્સની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. સામા પક્ષે, રાજ્યના અન્ય ભાગોમાંથી કુલ 12 નવા PI કચ્છને ફાળવવામાં આવ્યા છે.સરહદી વિભાગના ટી.આર. ચૌધરીની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 બદલામાં 12 નવા અધિકારી આવશે પૂર્વ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ (ભુજ) માંથી આ પીઆઇ બદલ્યા પૂર્વ કચ્છના બદલાયેલા અધિકારીઓ પીએસઆઇમાંથી બઢતી સાથે પીઆઇ થયેલા 10 અધિકારીની પણ બદલીપૂર્વ કચ્છમાં પીઆઇની બઢતી મળ્યા બાદ ફરજ બજાવતા વી.આર.પટેલ, કે.ડી.રાવલ,એમ.એમ.ઝાલા, પી.સી.મોલિયા, આર.સી.રામાનૂજ, વી..પી.આહીર અને એ.વી.પટેલની જિલ્લા બહાર બદલી થઇ છે તેમની સામે પૂર્વ કચ્છમાં એમ.જે.રાઠોડ, વી.આર.પ્રજાપતિ, એમ.જી.પરમાર, આર.એલ.ખટાણા, જી.એન.વાઘેલા, બી.વી.બોરીસાગર, જી.એ.સોલંકી અને એમ.જે. હુણ એમ આઠ નવા પીઆઇ મુકાયા છે. તો પશ્ચિમ કચ્છમાં જે.ડી.સરવૈયા, જે.કે.બારીયા અને કે.એ.જાડેજાની બદલી થઇ છે તેની સામે વાય.બી.રાણા, પી.કે.ઝાલા, આઇ.બી.ચૌધરી, ટી.ડી.ચુડાસમા, એમ.આર.શકોરીયા અને એચ.આર.બારોટ એમ ત્રણ સામે 6 પીઆઇ નવા મુકાયા છે.
27 ટકા ઓબીસી અનામતની અમલવારી બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નવા રોટેશનના કારણે અનેક વડોદરા મહાનગરપાલિકાના 76 સીટીંગ કોર્પોરેટરોમાંથી 25ના આપોઆપ પતા કપાઈ જાય તેવી પૂરી શક્યતા છે.જેમાં મેયર, પૂર્વ મેયર, દંડક, પૂર્વ ડેપ્યુટી મેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ સમાવેશ થાય છે. એકલ-દોકલ ઉમેદવાર માટે પાર્ટી વોર્ડ ચેન્જ કરી શકે અથવા તો જનરલ સીટ પર અનામત કેટેગરીના ઉમેદવારને ચૂંટણી લડાવી શકે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં કયા કયા કોર્પોરેટર પર નવા રોટેશનની અસર થશે તેની આ આર્ટિકલમાં વાત કરીશું. નવા રોટેશનના કારણે કયા વોર્ડમાં શું પરિવર્તન આવશે વોર્ડ નંબર 1અહીં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. બેઠકમાં થયેલા ફેરફારને કારણે એક મહિલા બેઠક OBC થતાં પુષ્પાબેન વાઘેલા અથવા અમીબેન રાવત એકની ટિકિટ કપાશે. જ્યારે એક પુરુષ બેઠક ST થતા કોંગ્રેસના જહા ભરવાડ અથવા હરીશ પટેલમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે. વોર્ડ નંબર 2 અહીં એક મહિલા બેઠક OBC થતાં અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટણી લડેલા મહિલા કોર્પોરેટર રશ્મિબેન વાઘેલાનું રિપિટ થવું મુશ્કેલ છે. જ્યારે પુરૂષની એક બેઠક OBC થતાં મહાવીર રાજપુરોહિત અથવા ભાણજી પટેલમાંથી એકની ટિકિટ કપાશે. આ વિસ્તારમાં મહેસાણાના પટેલોના મતો વધારે છે. વોર્ડ નંબર 3અહીં એક મહિલા બેઠક OBC અને એક પુરૂષ બેઠક STની થતાં પરાક્રમસિંહ અથવા રાજેશ શાહમાંથી એકની ટિકિટ કપાશે.જો કે આ બેઠક ઉપરથી પરાક્રમસિંહ જાડેજા પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી ચુક્યા છે. વોર્ડ નંબર 4અહીં એક મહિલા બેઠક OBC અને ગત ટર્મના એક પુરૂષ બેઠક OBC હતી. તેમાં ફેરફાર થતાં વિનોદ ભરવાડનું પત્તુ કપાવાની શક્યતા છે. જ્યારે બે મહિલા કૉર્પોરેટર પીન્કીબેન સોની અથવા રાખીબેન શાહમાંથી કોઈ એકની ટિકિટ કપાશે. પિંકી સોની ગત બોડીમાં મેયર રહી ચુક્યા છે. વોર્ડ નંબર 5 અગાઉની મહિલા OBCની બેઠકના સ્થાને બે મહિલા બેઠક સામાન્ય થતાં OBCની બેઠક પરથી ચૂંટણી લડેલા પ્રફુલ્લાબેન જેઠવા કપાઈ શકે છે. જ્યારે એક OBC પુરૂષ બેઠક થતાં હિતેન્દ્ર પટેલ અથવા નૈતિક શાહ બેમાંથી એકની ટિકિટ કપાશે. હિતેન્દ્ર પટેલ આ બોર્ડમાં ગત અઢી વર્ષ સ્થાયી સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. વોર્ડ નંબર 6 ગત ટર્મમાં SC મહિલા બેઠક હતી. જ્યારે આ વખતે બે સામાન્ય મહિલા બેઠક થતાં જયશ્રીબેન સોલંકી રિપિટ થાય તેવી શક્યતા ઓછી છે. વોર્ડ નંબર 7 અહીં એક OBC મહિલા બેઠક અને 3 સામાન્ય બેઠક થતાં જૈસે થે પરિસ્થિતિ રહેશે. વોર્ડ નંબર 8એક OBC મહિલા બેઠક થતાં રીટાબેન આચાર્ય અથવા મીનાબા ચૌહાણની ટિકિટ કપાશે. જ્યારે કેયુર રોકડીયા હવે ધારાસભ્ય હોય કોર્પોરેશનમાં તેમના સ્થાને નવા ઉમેદવારને તક મળી શકે છે. વોર્ડ નંબર 9 અહીં મહિલા STની બેઠક રદ થતા મહિલા કોર્પોરેટર ઉમિષાબેન વસાવાની ટિકિટ કપાવાની શક્યતા છે. જ્યારે પુરૂષ OBCની બેઠક થતાં નરસિંહ ચૌહાણ અથવા શ્રીરંગ આયરેની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 10ગત ટર્મમાં એક SC મહિલા બેઠકના સ્થાને આ વખતે બે મહિલા સામાન્ય બેઠક થઇ છે. જેના કારણે લીલાબેન મકવાણાની ટિકિટ કપાવાની શક્યતા છે.જ્યારે પુરૂષ OBC અને સામાન્ય બેઠક રહેતા બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહેવાની શક્યતા છે. વોર્ડ નંબર 11બે મહિલા સામાન્ય, એક પુરૂષ OBC અને સામાન્ય બેઠક થતાં આ વોર્ડમાંથી જૈસે થેની પરિસ્થતિ રહેશે. વોર્ડ નંબર 12એક મહિલા ST અને SCની બેઠક થતાં ટ્વિકંલ ત્રિવેદી, રીટા સિંહ, સ્મિત આરદેશના (પટેલ ) અથવા મનિષ પગારમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 13 બે સામાન્ય બેઠકમાંથી એક SCની મહિલા બેઠક થતાં જાગૃતિબેન કાકા અથવા જ્યોતિબેન પટેલની ટિકિટ કપાશે. જ્યારે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે છે. વોર્ડ નંબર 14 અહીં એક બેઠક મહિલા OBC થતાં જેલમબેન ચોક્સી અથવા નંદાબેન જોશી બેમાંથી એકની ટિકિટ કપાશે. જ્યારે બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે. વોર્ડ નંબર 15 અહીં બે સામાન્ય મહિલા યથાવત રહી શકે છે. જ્યારે ST બેઠક હતી તેની જગ્યાએ OBC થતા તેના પરથી ચૂંટણી લડેલા રણછોડ રાઠવાની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 16 અહીં બે મહિલા સામાન્ય બેઠક છે. જેથી મહિલાઓ માટે સ્થિતિ યથાવત રહી શકે. પરંતુ એક પુરુષ OBC બેઠક થતા અનુસૂચિત જાતિની બેઠક ઉપરથી લડેલા ઘનશ્યામ સોલંકીનું પત્તુ કપાઈ શકે છે. વોર્ડ નંબર 17અહીંની વાત કરીએ તો આ વોર્ડમાં અનુસૂચિત જાતિ મહિલા બેઠક થતા પ્રીતિ ભટ્ટ અથવા સંગીતાબહેન બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. જયારે એક પુરુષ OBC થતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ અથવા વર્તમાન દંડક શૈલેષ પાટીલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 18એક મહિલા OBC અને એક સામાન્ય મહિલા બેઠક થતા ભારતી ભદ્રેશા અને સુરુતા પ્રધાન તેમજ એક પુરુષ અનુસૂચિત જાતિ બેઠક થતા કલ્પેશ પટેલ અથવા કેતન પટેલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 19 અહીં મહિલા OBC અને સામાન્ય બેઠક થતા ST બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હેમલતાબેન તાડવીની ટિકિટ કપાઈ શકે છે જ્યારે જયારે બે પુરુષ યથાવત રહી શકે છે. આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નહીંવડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની ચૂંટણીમાં બેઠક દીઠ વ્યવસ્થાનું જાહેરનામું ઓક્ટોબર મહિનામાં જ બહાર પડી ગયું હતું. ત્યારે જ માલુમ પડી ગયું હતું કે, કેટલાય કોર્પોરેટરોનો ગરબો ઘેર પહોંચી જશે. જો કે આ વખતે ચારેય બેઠકો સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નથી. વર્ષ 2020માં 19 માંથી 6 વોર્ડ એવા હતા જેમાં ચારેય બેઠકો સામાન્ય હતી. ભાજપના બે કોર્પોરેટરો કોંગ્રેસમાં આવ્યા, એક સસ્પેન્ડગત ટર્મમાં ભાજપના મેન્ડેડ હેઠળ જીત્યા હતા તેવા 3 કોર્પોરેટરો હવે ભાજપમાં નથી. વોર્ડ 15ના આશિષ જોશી અને પારુલ પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં આવી ગયા છે. તો અલ્પેશ લિમ્બાચિયાને પક્ષે જ સસ્પેન્ડ કર્યા હતા. આશિષ જોષીને પણ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે તેઓએ પોતાના સાથી કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જો કે પારુલ પટેલને આમ પણ અંદાજ આવી ગયો હતો કે આ વખતે તેઓનું પત્તુ કપાઈ જવાનું છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
મહિના અગાઉ મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજથી એપ્રિલ માસના સમર શેડ્યુલમાં ચાર નવી ફ્લાઈટો શરૂ કરવાની મોટી જાહેરાત કરાઈ હતી. જોકે, એપ્રિલ માસ નજીક હોવા છતાં આ જાહેરાત માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે. નવી મુંબઈ એરપોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સમર શેડ્યુલમાં ભુજની ફ્લાઈટનો ક્યાંય ઉલ્લેખ નથી, જેનાથી કચ્છના પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, ઈન્ડિગો દ્વારા ભુજમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ ભુજ એરપોર્ટ પર ચેનલ ગેટ મોટો કરવા અને પાર્કિંગ સહિતની બાબતોમાં ખામી હોવાથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શક્યું નથી. એરપોર્ટ ડાયરેક્ટરે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષા સહિતના કારણો સામે આવ્યા હતા જેના પર હાલ કામગીરી ચાલી રહી છે. આ તરફ સ્ટાર એર દ્વારા ભુજ-વડોદરા અને ભુજ-નવી મુંબઈ સેવા અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટર્મિનલનું નવીનીકરણનું કામ અધ્ધરતાલભુજ એરપોર્ટ પર ટર્મિનલની પેસેન્જર ક્ષમતા 540 થી વધારીને 1200 કરવાની કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી બંધ થયાનું જાણવા મળ્યું છે. મુન્દ્રા એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ કરવાની તૈયારીબીજી તરફ મુન્દ્રા ખાનગી એરપોર્ટ પરથી નવી ચાર ફ્લાઈટો શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. સંભવતઃ એપ્રિલના પ્રથમ પખવાડિયા બાદ અહીં ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. હાલ પેસેન્જર સેવા શરૂ કરવા જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીએ દસ દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં નાગીયારી ગામના આરોપી છકડા ચાલકે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ આપતા અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ નોધાઇ છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા ફરિયાદીએ નાગીયારી ગામના આરોપી અલ્તાફ આદમ બાફણ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 16 માર્ચના રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મૃતક યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી યુવતી નોકરી પર જવા માટે આરોપીના છકડામાં અવર જવર કરતી હતી. જેથી આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપીએ યુવતીને પોતાની સાથે સબંધ રાખવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ અવાર નવાર ફોન કરતો તેમજ મારકૂટ પણ કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આરોપીએ આપેલા ત્રાસના કંટાળે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. જે મામલે માનકુવા પોલીસ મથકે આરોપી સામે મરવા માટે મજબુર કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે. ભાસ્કર ઇનસાઇડઆરોપીથી કંટાળી બસનો પાસ પણ કઢાવ્યોનોકરી માટે આરોપીના છકડામાં અવર જવર કરતી યુવતીએ આરોપીથી પીછો છોડાવવા માટે બસનો પાસ કઢાવી લીધો હતો. અને આરોપીના છકડાને બદલે બસમાં અવર જવર કરવાનું શરૂ કર્યું હતું.પરંતુ હાથ ધોઈને પાછળ પડી ગયેલા પરિણીત ઇસમેં તેનો પીછો છોડયો ન હતો અને અવાર નવાર યુવતીને ત્રાસ આપી મરવા માટે મજબુર કરી દીધી હતી.
પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર
સમગ્ર રાજ્યમાં એલપીજી ગેસની તડામારીની અફવાઓ વચ્ચે ભુજ શહેરમાં પણ પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે શહેર અને આજુબાજુના વિસ્તારના પાંચ જેટલા એલપીજી ડીલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણ ડીલરો સાથે વાતચીત થઈ હતી. ડીલરોના જણાવ્યા મુજબ ગેસની અછત અંગેની અફવા ફેલાતાં ગ્રાહકોમાં ભયનો માહોલ ઉભો થયો અને નિયમિત બૂકિંગની સરખામણીએ અચાનક વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિના દરમિયાન જ્યાં દૈનિક સરેરાશ 650 જેટલા ડોમેસ્ટિક બૂકિંગ થતા હતા, ત્યાં અછતની ચર્ચાઓ વચ્ચે પેનિક બૂકિંગ 1000ની પાર પહોંચી ગયું હતું. જોકે બાદમાં સરકારના જાહેરનામા પછી પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર થતાં બૂકિંગની ગતિ સામાન્ય સ્તરે આવી હતી. શહેરના ડીલરોના જણાવ્યા મુજબ, ગ્રાહકો માટે બૂકિંગની ચાર સુવિધાઓ, વોટ્સએપ, આઈવીઆરસી, મિસ્ડ કોલ અને ટેક્સ્ટ ઉપલબ્ધ હતી. પરંતુ બૂકિંગમાં અચાનક વધારો થતાં ક્યારેક સર્વર ડાઉન જેવી સમસ્યાઓ સર્જાતાં ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ બૂકિંગ નોંધાયા બાદ ગ્રાહકોને સમયસર ગેસ પહોંચે તે માટે ડીલરો દ્વારા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે વધેલા બૂકિંગ છતાં ગ્રાહકોને સરેરાશ 3 થી 4 દિવસમાં સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. RTEના કારણે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા-પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો સહિત તમામ લાભ લઇ શકશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલ શનિવારથી 16 એપ્રિલ શુક્રવાર દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની યાદી વાલીઓ સવાર કે બપોરની સ્કૂલ શિફ્ટ પસંદ કરી શકશેશૈક્ષણિક વર્ષ 2025-26 થી વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીની પાળી (શિફ્ટ) પસંદ કરી શકશે. અત્યાર સુધીના કિસ્સામાં જોવા મળતું હતું કે, જે શાળામાં સવાર અને બપોર એમ બે પાળી ચાલતી હોય ત્યાં સવારની પાળીમાં મોટાભાગે સંપન્ન પરિવારના બાળકોને પ્રાધાન્ય મળતું હતું. જોકે, હવે શિક્ષણ નિયામકની કચેરીએ RTE પોર્ટલમાં ફેરફાર કર્યો છે. હવે પોર્ટલ પર માત્ર શાળાની ખાલી બેઠકો જ નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દર્શાવવામાં આવશે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું નથીવાલીઓએ ઓનલાઈન પોર્ટલ પર આરટીઇ પ્રવેશ માટે ફોર્મ ભરવાના છે તેમજ તમામ પુરાવા પણ ઓનલાઇન અપલોડ કરવાના છે.ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે.ઓનલાઇન ભરેલું ફોર્મ હાલ તબક્કે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આવક મર્યાદામાં વધારો : અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખની મર્યાદા હતી. જોકે હવે વર્ષ 2025-26 માટે આ મર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે હવે વધુ સંખ્યામાં પરિવારો RTE હેઠળ મફત શિક્ષણનો લાભ લઈ શકશે. મહત્વની સમયરેખા
બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા પ્રવાસીઓની માંગણી તેમજ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભુજથી પાલીતાણા વાયા રાજકોટને જોડતી નવીન સ્લીપર બસ સેવાનો 26 માર્ચ ગુરૂવારથી આરંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં આ બસને પ્રસ્થાન કરાવાયું હતું. ભુજ થી પાલીતાણા બસ દરરોજ ભુજથી સાંજે 16:45 કલાકે ઉપડી પાલીતાણા સવારે 2:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણાથી સાંજે 8 કલાકે ઉપડી ભુજ સવારે 5:50 કલાકે પહોંચશે. આ સ્લીપર બસ સેવામાં પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી પાલીતાણા રૂ. 455/- રહેશે.આ બસ ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. વધુમાં ભુજથી અમદાવાદ વાયા શંખેશ્વર બસ દરરોજ ભુજથી સાંજે 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 5:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદથી સાંજે 18:00 કલાકે ઉપડી સવારે 4:30 કલાકે વાયા શંખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી અમદાવાદ રૂ. 463/- રહેશે.જેનો પ્રારંભ તા. 1 એપ્રિલ બુધવારથી થશે આ બસ અંજાર, ગાંધીધામ, રાધનપુર, શંખેશ્વરથી અમદાવાદ રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે.
ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર:રઘુનાથજી મંદિર શહેરની સ્થાપના સમય જેટલું જ જૂનું
ભુજના હૃદય સમા હમીરસર તળાવના કાંઠે આવેલું પૌરાણિક રઘુનાથજી મંદિર આશરે 450 વર્ષ જૂનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1548-49 (વિક્રમ સવંત 1605) દરમિયાન, ભુજ શહેરની સ્થાપના સાથે આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શ્રીરામને સમર્પિત છે અને કચ્છના પ્રાચીન મંદિરોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભુજના પૌરાણિક રઘુનાથજી મંદિરમાં દાયકાઓથી અમારા વ્યાસ પરિવારની 12મી પેઢી સેવા બજાવી રહી છે. વર્ષ 1962માં પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજારી તરીકે અમે હરેશભાઈ અને સુનિલ વ્યાસને મંદિરની જવાબદારી સોંપવામાં આવી છે. પૌરાણિક ધાર્મિક સ્થળ વિશે પુસ્તકમાંથી મળેલી જાણકારી અને ઇતિહાસ મુજબ, આ મંદિરનો સંબંધ કચ્છના રાજાશાહી સમય સાથે જોડાયેલો છે. ખાસ કરીને રાવ રાયધણજીના સમયમાં આ મંદિરને મહત્વ મળ્યું હતું. રાજાશાહી સમયમાં તહેવારો દરમિયાન રાજ પરિવાર દ્વારા મંદિર માટે સહાય આપવામાં આવતી હતી, જે પરંપરા આજે પણ કેટલીક રીતે યથાવત્ છે. ખાસ કરીને રામનવમીના પાવન અવસરે અહીં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રામનવમીના દિવસે ભુજ સહિત સમગ્ર કચ્છમાં ઉજવણીનો માહોલ રહે છે, ત્યારે રઘુનાથજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિર ખાતે શોભાયાત્રા, ભજન-કીર્તન અને પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવે છે. રાજાશાહી સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ, કેટલાક ધાર્મિક વિધિઓમાં આજે પણ રાજપરિવારની પ્રતીકાત્મક ભાગીદારી જોવા મળે છે. સાંસ્કૃતિક રીતે પણ આ મંદિરનું મહત્વ અતિ વિશાળ છે. હમીરસર તળાવની બાજુમાં આવેલું આ મંદિર ભુજના ઐતિહાસિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. દરરોજ અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને શહેરના ધાર્મિક જીવનમાં આ મંદિર કેન્દ્રસ્થાને છે. આ રીતે, રઘુનાથજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત સાક્ષી છે. 74 વર્ષ અગાઉ રામ ભગવાનનો સુવર્ણ ફોટો આજે પણ મંદિરમાં શોભે છેવર્ષ 1952માં એલ.એમ. પોમલ જાણીતા તેમજ અનેક સીમા ચિન્હરૂપી ફોટોગ્રાફી કરનાર ચિત્રકાર અને ફોટોગ્રાફરે સોનાના વરખ લગાવીને પેન્ટિંગ કરેલા ભગવાન શ્રીરામનો સુવર્ણ ફોટો આજે પણ મંદિર પરિસરમાં સ્થાપિત છે અને દર વર્ષે રામનવમીની શોભાયાત્રામાં સામેલ થાય છે. રામનવમીના દિવસે સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થાય છે, ત્યારબાદ પૂજન, રવાડી અને બપોરે મહાઆરતી સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજના ગુરુ રામાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ રઘુનાથજી મંદિર પાસે આવેલી રામવાડીમાં આવેલ ધર્મશાળામાં જ્યારે ભુજમાં પ્રથમ વખત આવ્યા ત્યારે રોકાયા હતા. અહીં એક કૂવો આવેલો છે તેના પાણીથી તેઓ સ્નાન કરતા હતા અને અહીં રઘુનાથજીની પૂજા કરતા હતા. સ્વામિ. સંપ્રદાયમાં રઘુનાથજીના મંદિરનો ઉલ્લેખ પ્રસાદી મંદિર તરીકે કરાયો છે, જેના પગલાં પણ મંદિર પરિસરમાં જોવા મળે છે.
સેન્ટ્રલ જેલમાં બુધવારે 3 વાગ્યે હત્યાના ગુનાના કેદીએ લૂંટના ગુનાના કેદીને પતરાની પટ્ટી પેટમાં હૂલાવી દેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. હૂમલાખોર કેદીએ પતરાની પટ્ટી એટલી જોરથી પેટમાં હૂલાવી હતી કે તે પેટમાં જ રહી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ કેદીને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ બન્ને કેદીઓ એક જ બેરેકમાં રહેતા હતા અને 2 મહિના પહેલા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સજા કાપતો પાકા કામનો કેદી 54 વર્ષીય શિવબદન કેવટ બુધવારે બપોરે 3 વાગે જેલબંધી ખુલતા જેલના આઉટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાનો કેદી ભયલુ દરબાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શિવબદનને જોઈને ભયલુ ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાં પડેલી પતરાની પટ્ટી શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઘટના બનતા અન્ય કેદીઓ અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. શિવબદનને જેલની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવીને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પેટમાં રહેલી પતરાની પટ્ટી કાઢી હતી અને સામાન્ય સર્જરી કરી હતી. હાલમાં શિવબદન સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેલમાં ચાલી રહેલા બાંધકામ પાસેથી પતરાની પટ્ટી લીધીહાલમાં જેલની અંદર બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે પતરા, પથ્થર, ઈંટો ત્યાં પડેલા હતાં. જેથી ભયલુએ ત્યાંથી પતરાની પટ્ટી લઈ લીધી હતી અને શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભયલુને દાઢ દુખતી હોવાને કારણે તે ડૉક્ટરને બતાવવા માટે જેલમાં આવેલા દવાખાનામાં જઈ રહ્યો હતો, ત્યારે શિવબદન વચ્ચે મળી જતા તેણે હુમલો કર્યો હતો. ભયલુને હત્યાના ગુનામા 10 વર્ષની સજા થઈ હતી અને શિવબદનને એક વાર 7 અને બીજી વાર 7 એમ કુલ 14 વર્ષની સજા થઈ હતી.
કોમર્સ ફેકલ્ટી દ્વારા ટાઇમ ટેબલની જાહેરાત:ટીવાય બીકોમ રેગ્યુલર સહિત ઓનર્સની પરીક્ષા 7 એપ્રિલથી
મ.સ.યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ મહિનાથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ જશે. ટી.વાય. બી.કોમ.ની ઓનર્સ અને રેગ્યુલરની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, જેનું ટાઈમ-ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થયા બાદ બી.કોમ. ઓનર્સમાં ત્રીજા વર્ષની પરીક્ષા લેવાશે, જેમાં 6,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટીકેટી ધરાવતા 500થી 600 જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ બી.કોમ. રેગ્યુલર બેચના હતા અને જેઓ બી.કોમ. ક્લિયર કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને પણ તક મળશે. 7 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ 13 એપ્રિલ સુધી ચાલશે. ટી.વાય. બી.કોમમાં એકાઉન્ટ ઉપરાંત કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટમાં માર્કેટિંગ તથા એચ.આર.એમ. વિષયની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ઇકોનોમિક્સમાં એપ્લાઇડ ઇકોનોમિક્સ તથા ફાઇનાન્સ ઇકોનોમિક્સની પરીક્ષા લેવામાં આવશે. કોમર્સ સહિત અન્ય ફેકલ્ટીઓમાં પણ એપ્રિલમાં પરીક્ષાની શરૂઆત કરવામાં આવનાર હોવાનું જણાયું છે.
મોટી પહેલ:પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઈલેક્શન મેનેજમેન્ટ સંસ્થામાં રિસર્ચ કરી શકશે
ભારતના ચૂંટણી પંચ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ દ્વારા લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા માટે ત્રણ મોટી પહેલની જાહેરાત કરવામાં આવી છે. 2026માં ભારત આંતરરાષ્ટ્રીય આઇડીઇએના સભ્ય દેશોની કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળવાનું છે. તે અંતર્ગત સમાવેશક અને ટકાઉ વિશ્વ માટે લોકશાહી થીમ પર આ કાર્યક્રમો યોજાશે. યુજીસીએ વડોદરાની મ.સ.યુનિ. સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ તકોનો લાભ લેવા સૂચના આપી છે. આ પ્રોજેકટમાં ‘સ્ટુડન્ટ કનેક્ટ રિસર્ચ ચેલેન્જ’ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાશે. જેમાં વિવિધ દેશોની ચૂંટણી પ્રણાલી અને કાનૂની માળખા પર તુલનાત્મક સંશોધન કરવાનું રહેશે. શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસમાં એક દિવસીય મુલાકાતનું આયોજન કરાશે. જેમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી સંચાલનના ઓપરેશનલ પાસાઓ પ્રત્યક્ષ શીખવા મળશે. ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સનું 18-19 જૂન 2026ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસ, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં પ્રોફેસરો અને સંશોધન વિદ્વાનો ચૂંટણી શાસનના સમકાલીન મુદ્દાઓ પર પોતાના રિસર્ચ પેપર રજૂ કરી શકશે. રિસર્ચ માટેના મુખ્ય વિષયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે વર્ષ પહેલાં બનાવેલું પુસ્તકાલય તાળાબંધીમાં ધૂળ ખાઈ રહ્યું છે. લાઇબ્રેરીમાં 100 વર્ષ જૂના પુસ્તકો છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં તેને ‘નરેન્દ્ર પુસ્તકાલય’ના નામે શરૂ કરાયું હતું. જેને બંધ કરી દેવામાં આવતા હાલના વહીવટકર્તાઓ સામે સવાલો ઊભા થયા છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં 17 સપ્ટેમ્બરે સમિતિની મુખ્ય કચેરી ખાતે પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું. સમિતિમાં જ ધૂળ ખાતા 100 વર્ષ જૂના પુસ્તકોને ફરીથી બાઈન્ડિંગ કરાવી મુકાયા હતા. લાઇબ્રેરી શરૂ થયાના દોઢ વર્ષમાં જ બંધ કરી દેવાઇ છે. લાઇબ્રેરીમાં અન્ય સામાન પણ મૂકી દેવામાં આવ્યો છે. સમિતિમાં ડિજિટલ વિશ્વમાં જીવી રહેલા સત્તાધીશો આ લાઇબ્રેરીની ખસ્તા હાલત માટે જવાબદાર છે. જે તે સમયે લાઇબ્રેરીનો વિકાસ કરવા માટે નેમ લેવામાં આવી હતી. જોકે અત્યારે એવી પરિસ્થિતિ છે કે લાઇબ્રેરી બંધ કરીને તેને તાળું મારી દેવાયું છે. બે આના, ચાર આનામાં ખરીદેલાં પુસ્તકો પણ છેશાળા અને શિક્ષણ પદ્ધતિ જેવા અનેક એક આના, બે આના, ચાર આના, દસ પૈસાના ઐતિહાસિક પુસ્તકો છે. વિશેષતા એ છે કે વડોદરા શિક્ષણ નગરી તરીકે જેનાથી પ્રસિદ્ધ છે એવા સયાજીરાવ ગાયકવાડના સમયના પુસ્તકો પણ છે. સિંધી, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના મહાન લેખકોનાં પુસ્તકોનો પણ પુસ્તકાલયમાં સમાવેશ કરાયો હતોદેશના મહાન લેખકોના પુસ્તકોનો પણ આ પુસ્તકાલયમાં સમાવેશ થયો છે. જેમાં પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, કવિ કલાપી, વીર નર્મદ, ઈશ્વર પેટલીકર, કાકાસાહેબ કાલેલકર જેવા મહત્વના લેખકોના પુસ્તકોનો સમાવેશ થયેલ છે.
ડોમ્બિવલીમાં ટ્રસ્ટીના પુત્ર પર શિક્ષિકાની છેડતીનો આરોપ
સતત અયોગ્ય મેસેજ અને શારીરિક સંબંધનું દબાણ શિક્ષિકાએ મનસેને ફરિયાદ, કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આરોપીને પોલીસને સોંપાયો, તપાસ શરુ મુંબઈ - ડોંબિવલી પૂર્વના સાગાંવ વિસ્તારમાં એક ગંભીર છેડછાડની ઘટના સામે આવી છે. જ્યાં એક શાળાના ટ્રસ્ટીના દીકરાએ શિક્ષિકાને અશ્લિલ મેસેજ તેમજ વિડીયો મોકલીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યાનો આરોપ થયો છે. જેથી સ્થાનિક સ્તરે રોષ ફેલાયો છે અને મનસેના કાર્યકરોએ આ બાબતે પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.
નર્મદ સાહિત્ય સભા દ્વારા પુરસ્કૃત લઘુ નવલકથા ‘સૂત્રિત’નું નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન રાજેશ દાણી દ્વારા કરવામાં આવ્યું છે. જે મેધા ત્રિવેદી દ્વારા લિખિત છે. મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને ચરખો ચલાવી સુતર કાંતવાની પ્રવૃત્તિમાં જોડાવાની હાકલ કરી. એ પ્રવૃતિનો એક સ્ત્રી અને તેના પરિવાર પર કેવો પ્રભાવ પડ્યો તેની આ નાટકમાં વાત કરી છે. ચરખાની પ્રવૃત્તિ દ્વારા ગાંધીજીએ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા અપાવી, એમને ઘરની બહાર લાવી સ્વદેશી અને આઝાદીની ચળવળમાં જોતરી. ‘સૂત્રિત’ નાટકમાં એક અનોખી વાત છે, એક અનોખી રજૂઆત છે. 7 વર્ષના બાળકલાકારોથી લઈને 45 વર્ષથી વધુ સમયથી રંગમંચ પર કાર્યરત અનુભવી એવા 30થી વધારે કલાકારો રંગમંચ પર આવશે. જેનું અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી દરેક વયના અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની મનગમતી પ્રવૃત્તિ નાટકમાં કિરદાર નિભાવવા માટે સમય ફાળવે છે. વડોદરાના રંગમંચને વરેલ નિષ્ઠવાન કલાકારો સાથે વિશિષ્ટ પ્રકાશ આયોજન, સંગીત અને વેશભૂષા દ્વારા ‘સૂત્રિત’ નાટક પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમમાં 29મી માર્ચના રોજ સાંજે 7.30 વાગ્યે સંસ્કૃતિ થિયેટર્સ દ્વારા ભજવવામાં આવશે.
આજના ઝડપભર્યા જીવનમાં ઈગોને હરાવવાની વાત નથી. તેને સમજવાની જરૂર છે. ઈગો આપણી ઓળખને બચાવવાનો પ્રાકૃતિક મિકેનિઝમ છે, પરંતુ જ્યારે તે અણજાણ્યા રિએક્શનમાં ફેરવાઈ જાય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. વારંવાર થતા ટ્રિગર્સ કોઈ અકસ્માત નથી, પરંતુ અંદર છુપાયેલા પેટર્ન્સ છે, જે અવેરનેસ માંગે છે. ભાવનાઓને દબાવી દેવી એ ઉકેલ નથી. ગુસ્સો, દુઃખ કે નિરાશા જો સમયસર પ્રોસેસ ન થાય તો મન તેને ‘મહત્વપૂર્ણ’ માનીને સંગ્રહિત રાખે છે. આથી જ પોઝ લીધા પછી રીએક્ટ કરોનો સિદ્ધાંત મહત્વનો બને છે પ્રતિસાદ આપતા પહેલાં થોડી ક્ષણ માટે થંભવું જ સાચી શક્તિ છે. સાચી શક્તિ એમાં નથી કે તમે તરત જવાબ આપો, પણ એમાં છે કે તમે સમજ સાથે જવાબ પસંદ કરો. યુવાનો માટે ‘ઇગો મેનેજમેન્ટ અને ઈમોશનલ મેચ્યોરિટી’ પર યુવાલય દ્વારા યોજાયેલા સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભારતી નાઇકે જણાવ્યું હતું. યુવાલય દ્વારા યોજાતી આ વિવિધ શ્રેણીની ટોકમાં યુવાનોને માનસિક વિકાસ તરફ દોરી જવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇમોશનલ મેનેજમનેટ ઇગો નહીં પણ રીએક્શન શત્રુ છેઈગો ક્યારેય શત્રુ નથી, પરંતુ અણજાણતા રિએક્શન ખરેખર નુકસાન કરે છે. ટ્રિગર્સને ઓળખો, થોભો અને વિચારપૂર્વક પ્રતિસાદ આપો. નાની નાની બદલાવથી મોટો ફેરફાર શક્ય છે. બીજાને નહીં, પોતાને સંભાળવાની કળા જ સાચી સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. એ જ સાચી પ્રોઍક્ટિવ લીડરશિપ છે. સાચી વૃદ્ધિ બીજાને બદલવામાં નથી, પરંતુ પોતાની પ્રતિક્રિયાઓને સંભાળવામાં છે. જાતને પ્રશ્ન કરવાથી વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકેજ્યારે આપણે કોઈ ચોક્કસ ઓળખ, પદ કે માનને બચાવવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે રક્ષણાત્મક બની જઈએ છીએ. આથી ગુસ્સો, ઉંચી અવાજમાં વાત કરવી અને આક્રમક વલણ દેખાય છે. માનસિક આરોગ્ય ક્ષેત્રના જાણકારો માને છે કે ‘હું કઈ ઓળખને બચાવી રહ્યો છું?’ આ પ્રશ્ન વ્યક્તિને પોતાની અંદર ઝાંખી કરવા પ્રેરિત કરે છે. આ પ્રશ્ન દ્વારા વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકે છે અને પ્રતિભાવ આપવાનું શીખી શકે છે.
શહેરમાં રામ નવમી નિમિત્તે 22 શોભાયાત્રા નીકળતાં વાતાવરણ રામમય બન્યું હતું. 19 વોર્ડમાં નીકળેલી વિવિધ યાત્રાથી સવારથી મોડી રાત સુધી ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં હજારોની મેદની ઊમટી પડી હતી. પ્રતાપનગર સ્થિત ઋણમુક્તેશ્વર મહાદેવથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો જોડાયાં હતાં. વિવિધ ફ્લોટ્સ દ્વારા હિન્દુત્વની ભાવના ઉજાગર કરાઈ હતી. જ્યારે અનેક મંદિરોમાં મધ્યાહ્ને ભગવાન રામનો જન્મોત્સવ ઊજવાયો હતો. ઘરે-ઘરે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાના પાઠ અને ભંડારા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ઋણમુક્તેશ્વર મહાદેવથી સાંજે 5 વાગે નીકળેલી શોભાયાત્રા માંડવી, ન્યાયમંદિર થઇ તાડ ફળિયા રામજી મંદિરે સમાપ્ત થઇ હતી. શોભાયાત્રામાં ‘રામ મંદિર તો બની ગયું, હવે કાશી-મથુરાનો વારો’ તેવા લખાણ સાથે ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં બાળક જોડાયો હતો. જ્યારે ભગવાન રામચંદ્રજીની પ્રતિમાની પાછળ આરએસએસનાં 100 વર્ષ દર્શાવતું સિંહાસન તૈયાર કરાયું હતું. આજે પણ રામ નવમીના કાર્યક્રમોનું આયોજનશહેરમાં રામાનંદી સમાજ દ્વારા ઉદિત તિથિ મુજબ શુક્રવારે રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. અયોધ્યામાં પણ શુક્રવારે જ રામ નવમી હોવાથી અનેક મંદિરો અને સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શહેરમાં સતત બે દિવસ રામ જન્મોત્સવની ઉજવણી થશે. બાલાજી મંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે રામ રક્ષા પાઠ-આરતી થશેબાલાજી મંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે 27મીએ સવારે 10થી 12 કલાકે સામૂહિક રામ રક્ષા પાઠ અને ભજનનું આયોજન થશે. ત્યારબાદ 12 વાગ્યે મહાઆરતી બાલાજી મંદિર, રાવપુરા ખાતે યોજાશે. જંબુબેટ દાંડિયાબજારમાં રામ રક્ષાના સામૂહિક પાઠ યોજાયા‘સેવાલી’ સંસ્થાએ જંબુબેટ દાંડિયા બજારમાં પૌરાણિક લક્ષ્મણ મહારાજ મઢ રામ મંદિરમાં રામરક્ષા પાઠ યોજ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
આજે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો હતો. આ વર્ષે મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળના વિશેષ અભિગમ સાથે ભક્તોએ ઘરેથી તૈયાર કરેલી વાનગી અર્પણ કરી હતી. ભક્તો દ્વારા અર્પણ કરાયેલી 825 પ્રકારની મીઠાઈ, 2050 પ્રકારના ફરસાણ, સૂકો મેવો, ફળ, મુખવાસ અને કેક મળીને કુલ 3245 પ્રકારનાં વ્યંજનોનો અન્નકૂટ તૈયાર કરાયો હતો. જ્યારે રામ નવમીના અવસરે બપોરે 12 કલાકે ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હતી. અટલાદરા બીએપીએસ મંદિરમાં ભક્તો ઘરેથી વિવિધ વાનગી બનાવી લાવ્યા
રામ નવમીએ શહેરમાં 22 શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ વીએચપીના કારેલીબાગ પ્રખંડ દ્વારા હરણીથી યોજાતી શોભાયાત્રા જૂના રૂટ પર કાઢવાની મંજૂરી પોલીસે ન આપતાં કાર્યકરો રોષે ભરાયા હતા. જેને પગલે શોભાયાત્રા જ રદ કરી દેવાઈ હતી, જ્યારે વીએચપીનાં 150થી વધુ કાર્યકર રાજીનામાં આપશે. 2023માં આ યાત્રા કુંભારવાડા પાસે પહોંચતાં પથ્થરમારો થયો હતો. તે પછી ગત વર્ષે પણ પોલીસે યાત્રાનો રૂટ બદલી દીધો હતો. જ્યારે શહેરની કુંભારવાડામાંથી નીકળતી સૌથી જૂની શોભાયાત્રા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. વીએચપીના કાર્યકરોએ શોભાયાત્રા માટે ફતેપુરાના જૂના રૂટની માગ કરી હતી, જ્યારે પોલીસે એલએન્ડટી સર્કલ, અમિતનગર થઈ પાણીની ટાંકી, બહુચરાજી રામ મંદિર સુધીની મંજૂરી આપી હતી. જેથી કાર્યકરોએ રોષે ભરાઈ શોભાયાત્રા રદ કરી હતી અને અમિતનગર સર્કલ પાસે મહાઆરતી, રામધૂનનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, ગોરવા, ફતેગંજ, અકોટા, કુંભારવાડા, છાણી, વાડી, સમા, માંજલપુર સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી. 600થી વધુ શકમંદોની યાદી તૈયાર, લોકેશન ટ્રેકિંગ પર મુકાયાં, 250ની અટકશાંતિ ડહોળવા પ્રયાસ કરી શકે તેવા 600થી વધુ શકમંદોની વિશેષ યાદી તૈયાર કરાઈ હતી. પોલીસે તમામના ફોન લોકેશન ટ્રેકિંગ પર મૂકી દીધા હતા અને શકમંદો સાથે તેમના સંબંધી પર પણ વોચ રખાઈ હતી. જ્યારે 250થી વધુની અટકાયત કરાઈ હતી. નેત્રમ સીસીટીવી રૂમ ખાતે પોલીસની ખાસ ટીમે આરોપીના ફોટો-વીડિયો એનાલિટિક્સમાં અપડેટ કર્યા હતા અને વોચ રાખી હતી. પોલીસે કંટ્રોલ રૂમથી ગ્રાઉન્ડ સ્ટાફને નિર્દેશ આપ્યા હતા. ડ્રોન-CCTVથી પોલીસની શોભાયાત્રા પર નજર વર્ષ 2023માં પથ્થરમારો થયો હતો તે સ્થળે પતરાં લગાવી દેવાયાં કુંભારવાડા પાસે 2023માં રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો થયો હતો. જેથી આ વર્ષે મસ્જિદ સામે અને આગળના ચાર રસ્તે સુરક્ષાના હેતુથી પતરાં માર્યાં હતાં. સાથે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મુસ્લિમ આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. જૂના રૂટની મંજૂરી ન મળતાં કાર્યકરોમાં નારાજગી ફેલાઈ જૂના રૂટથી શોભાયાત્રા કાઢવા ન દેતાં કાર્યકરો નારાજ છે. પ્રશાસન સામે રોષ છે. હિન્દુત્વ માટે શોભાયાત્રા કાઢીએ છીએ. કારેલીબાગ પ્રખંડનાં 150 કાર્યકર રાજીનામાં આપશે. અમિતનગર સર્કલ પાસે રામધૂન, મહાઆરતીનું આયોજન કર્યું છે. — કલ્પેશ જોષી, કારેલીબાગ પ્રખંડ મંત્રી VHP રામ નવમીની શોભાયાત્રા શાંતિમય રીતે પૂર્ણ થઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરાયું હતું. રામ નવમીની શોભાયાત્રાઓ શાંતિમય રીતે પૂર્ણ થઈ હતી. શહેરીજનોનો પણ પોલીસને સારો સહકાર મળ્યો હતો. — નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર આવતા વર્ષે આ રૂટથી યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું પોલીસે મંજૂરી આપી હતી, પણ આયોજકોની 2023માં જે રૂટ હતો ત્યાંથી શોભાયાત્રા કાઢવા માગ હતી. બુધવાર સાંજ સુધી આયોજકો સંપર્કમાં હતા. પોલીસે લો-ઓર્ડરને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે. આવતા વર્ષે આ રૂટે યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું. — ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ પોલીસે અગાઉ પણ આશ્વાસન આપ્યું હતું2023ની ઘટના બાદ બીજા વર્ષે જે તે સમયના ડીસીપીએ આ વખતે રૂટ બદલો, ચૂંટણી પર અસર થશે તેમ કહ્યું હતું. તે પછી જૂના રૂટની મંજૂરીનું આશ્વાસન આપ્યું હતું. પોલીસ તે વાત પર કાયમ ન રહી. — વિપુલ પઢિયાર, સહમંત્રી, વડોદરા, VHP
દેશમાં સર્જાયેલા ગેસ બોટલના સંકટ વચ્ચે સરકાર દ્વારા પીએનજી ગેસ લાઇન જોડાણને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે ગેસ કંપનીમાં નવા કનેક્શન માટે 9 હજાર અરજી પેન્ડિંગ હોવાનું સપાટી પર આવ્યું છે. છેલ્લા એક મહિનામાં 2 હજાર અરજી મળી છે. જોકે રાહતની વાત એ છે કે, ગેસ વિભાગે રૂા.300 રજિસ્ટ્રેશન ફી નાબૂદ કરી છે. સરકારે રહેણાક વિસ્તારમાં પીએનજી ગેસનું જોડાણ ફરજિયાત બનાવ્યું છે. જેમાં કોઈ વિસ્તારમાં જતી ગેસ લાઈનમાંથી 3 મહિનામાં કનેક્શન લેવા કહેવાયું છે. ત્યારે મહાનગર પાલિકા અને ગેલના સંયુક્ત સાહસ ગેસ કંપની લિમિટેડમાં નવા કનેક્શનની 9 હજાર અરજી પેન્ડિંગ છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ છેલ્લા એક મહિનામાં 2 હજાર જેટલી અરજી આવી છે. જ્યારે રોજનાં 150થી વધુ ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. આગામી બે મહિનામાં તમામ અરજીનો નિકાલ કરવામાં આવશે. સરકારે ડિપોઝિટ નહીં લેવા અને રૂા.500 સુધીનો ગેસ મફત આપવાની જાહેરાત કરી છે. જોકે વડોદરા ગેસ કંપની પાસે એવો કોઈ સર્ક્યુલર આવ્યો નથી તેવું જાણવા મળ્યું છે. નવા કનેક્શન માટે ગેસ કંપનીએ રૂા.300 રજિસ્ટ્રેશન ફી નહીં લેવાનું નક્કી કર્યું છે. નવા કનેકશનમાં ગેસ કંપનીની જાહેરાત : 300 રજિસ્ટ્રેશન ફી નાબૂદપુરવઠા વિભાગ મુજબ શહેર-જિલ્લામાં 12 હજાર કોમર્શિયલ સહિત 5.44 લાખ ગેસ બોટલના ગ્રાહક છે. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર જેટલાં બોટલનું રિફીલિંગ થતું હતું, જે હાલ બમણું થયું છે. આઉટ ગ્રોથ વિસ્તારમાં ગેસનું નેટવર્ક, 40 હજાર જૂના કનેક્શન પણ બદલ્યાંગેસ કંપની હાલમાં 2.90 લાખ ગ્રાહકોને ગેસનો પુરવઠો પાઇપ મારફતે પૂરો પાડે છે. જ્યારે 3030 કોમર્શિયલ કનેક્શન છે. શહેરમાં વેમાલી, ઉંડેરા, સેવાસી, કલાલી, જાંબુઆ સુધી નેટવર્ક નખાયેલું છે. 40 હજાર કનેક્શનનું જૂનું નેટવર્ક હટાવી નવું નેટવર્ક નાખ્યું છે, જેને કારણે પ્રેશર સુધારો થયો હોવાનો દાવો છે.
પ્રજાએ વ્યક્ત કર્યો આક્રોશ:ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી ન મળતાં લોકોના દેખાવો, માટલાં ફોડી વિરોધ
શહેરમાં ભરઉનાળે લોકોને પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ભાયલી સ્ટેશન નજીક છેલ્લા 10 દિવસથી પાણી ન મળતાં રહીશોએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 5-5 દિવસથી કપડાં ધોયાં નથી અને આસપાસ તળાવ પણ નથી કે ત્યાં જઈને ધોઈ શકાય. ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ સાથે લોકો એકત્ર થયા હતા. મહિલાઓનું કહેવું હતું કે, પાણી નહીં આવવાથી પરેશાની થઈ રહી છે. આ વિસ્તારમાં સામાન્ય આવક ધરાવતા લોકો રહે છે, જેથી પાણીનું ટેન્કર મગાવવું પરવડે તેમ નથી. આ અંગે પાલિકાના તંત્ર અને સ્થાનિક નેતાઓને જાણ કરી છે, પરંતુ કોઈ જોવા આવતું નથી. ગત ચૂંટણીમાં કહેતા હતા કે, અમારી તરફ જોજો. હવે જ્યારે અમારે જરૂર પડી છે તો કોઈ જોવા આવતું નથી. રહીશ મીનાબેને જણાવ્યું હતું કે, પાણી ન આવતું હોવાથી 5 દિવસથી કપડાં ધોયાં નથી. આસપાસ તળાવ કે સરોવર પણ નથી કે ત્યાં જઈને કપડાં ધોઈ શકાય. તંત્ર તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.
સરકારી ડેન્ટલ કોલેજની મેસમાં કોલસાની સગડીઓ પર રસોઈ
ગેસ ટ્રેબલના કારણે મુશ્કેલી સર્જાઈ માંગ વધતાં હવે તો કોલસાની કિંમત પણ બમણી થઈ ગઈ છે ઃ ભોજન અને નાસ્તાનું મેનુ ટૂંકાવી દેવાયું મુંબઈ - ઈરાન- અમેરિકા યુધ્ધને પાયે ગેસની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હોવાથી દક્ષિણ મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્ટીનમાં કોલસાની મોટી મોટી સગડીઓ પર રસાઈ બનાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આ રીતે કોલસાની સગડી અને ચૂલા ઉપર આંધણ ચડાવવામાાં આવે છે. કેન્ટીનના સંચાલક નાગરાજના જણાવ્યા પ્રમાણે સિલિન્ડર મળતા ન હોવાથી આ રીતે કોલસાની સગડી પેટાવીને રાંધવાનો વારો આવ્યો છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણીને લઈને રહ્યા. તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધથી કોરોના મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજા મોટા સમાચાર કાશ્મીરમાં ઈરાન માટે એકત્ર કરવામાં આવેલા 18 કરોડ રૂપિયાના ફાળાના રહ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. અયોધ્યામાં રામલલાનું સૂર્યતિલક બપોરે 12 વાગ્યે થશે. 2. યુપીના સુલતાનપુરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણીના મામલામાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. પુતિન બોલ્યા- ઈરાન યુદ્ધથી કોવિડ જેવી સ્થિતિનો ખતરો:જેઓ યુદ્ધ લડી રહ્યા છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાન યુદ્ધ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધથી COVID મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામોનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જે દેશો આ યુદ્ધમાં સામેલ છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષની અસર આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન પર પડી રહી છે. આ સાથે ઓઇલ-ગેસ, ધાતુ અને ખાતર ક્ષેત્રની કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાન યુદ્ધ મામલે કાલે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય કોરોના જેવી પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 27 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત 5 ચૂંટણી રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી આપશે નહીં. મોદીએ 24 માર્ચે રાજ્યસભામાં કહ્યું હતું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ ચાલુ રહેશે તો તેના દુષ્પરિણામો આવશે. આવનારો સમય કોરોના મહામારીની જેમ દેશની પરીક્ષા લેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. હોટલ-રેસ્ટોરાં બિલમાં વધારાના LPG ચાર્જ લઈ શકશે નહીં:સરકારે કહ્યું- જો આવું કરશે તો કાર્યવાહી થશે, 5% ગેસ-ક્રાઇસિસ ચાર્જ વસૂલવાનો મામલો સામે આવ્યો હતો હોટલ-રેસ્ટોરાં હવે ગ્રાહકો પાસેથી 'LPG ચાર્જ' અથવા 'ફ્યુઅલ કોસ્ટ રિકવરી' જેવા વધારાના ચાર્જ લઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ખાવાની કિંમત સિવાય બિલમાં ફક્ત સરકારી ટેક્સ જ ઉમેરી શકાશે. LPG સંકટ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ તેના આદેશમાં જણાવ્યું છે કે હોટલ અને રેસ્ટોરાંએ તેમના તમામ ઇનપુટ કોસ્ટને મેનૂમાં આપેલી કિંમતોમાં જ સામેલ કરવા પડશે. જો કોઈ રેસ્ટોરાં ગેસની વધતી કિંમતો અથવા અન્ય કોઈ ઓપરેશનલ ખર્ચનો હવાલો આપીને બિલમાં અલગથી ચાર્જ ઉમેરે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઓથોરિટી મુજબ, મેનૂમાં જે ભાવ લખેલો છે, ગ્રાહક ફક્ત તે જ અને તેના પર લાગતા ટેક્સ જ ચૂકવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બંગાળમાં TMC-BJP કાર્યકરો વચ્ચે અથડામણ, 20 ઘાયલ:5 રાજ્યોમાંથી 400 કરોડ જપ્ત; કેરળના મુખ્યમંત્રી બોલ્યા- રાહુલમાં કાર્યકરો જેટલી સમજણ નથી ગુરુવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બસંતી (SC) વિધાનસભા મતવિસ્તારમાં બની હતી, જ્યાં 29 એપ્રિલે બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. દરમિયાન, ચૂંટણી પંચે અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે ચૂંટણીની જાહેરાત પછી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના ગેરકાયદેસર પ્રલોભનો જપ્ત કરવામાં આવ્યા છે. આમાં ₹17.44 કરોડ રોકડા અને ₹167.38 કરોડ ડ્રગ્સનો સમાવેશ થાય છે. દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું, કોંગ્રેસ ભારતમાં સરકાર બનાવી શકતી નથી. તે ફક્ત પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જ સરકાર બનાવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કાશ્મીરીઓએ ઈરાનની મદદ માટે ₹18 કરોડનું ભંડોળ એકત્ર કર્યું:બડગામ જિલ્લો સૌથી આગળ, સુરક્ષા એજન્સીઓને આતંકી ફંડિંગમાં ઉપયોગ થવાની આશંકા કાશ્મીર ઘાટીમાં ઈરાનના સમર્થનમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાના મામલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. તેમને આશંકા છે કે આ પૈસાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થઈ શકે છે. સૂત્રો અનુસાર, અત્યાર સુધીમાં 17.91 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, જેમાંથી 85% રકમ શિયા સમુદાયે દાન કરી છે. કાશ્મીરનો બડગામ શિયા બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંથી લગભગ 9.5 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી:6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. PM સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે:ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ આપશે, ડીસામાં જાહેરસભા સંબોધશે, 31 માર્ચે ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદથી લઈને ડીસા સુધી અનેક મહત્વના વિકાસકાર્યોમાં ભાગ લેશે. સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેક્ટને પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે.વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલે કહ્યું- હોસ્પિટલમાં આખી રાત સોફા પર સૂતો રહ્યો:માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતો; સોનિયા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 26નાં મોત:6 લોકોનો જીવ બચાવાયો, બસને મોટી બોટ પર ચઢાવતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મધ્યપ્રદેશ-CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 9 મોત:30થી વધુ ઘાયલ; એકનો હાથ કપાઈને અલગ, છિંદવાડા પાસે અકસ્માત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાંચ દિવસના સીઝફાયર પછી ફરી યુદ્ધ શરૂ:અફઘાનિસ્તાન-પાકિસ્તાનના એકબીજા પર હુમલા, 3 લોકોના મોત; 3 પાકિસ્તાની ચોકીઓ તબાહ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું થયું:નયારાએ દેશભરમાં ભાવ વધાર્યા, ગુજરાતમાં એક લિટર પેટ્રોલ ₹99.34 અને ડીઝલ ₹92.90 થયું, ક્રૂડ ઓઇલ મોંઘું થવાની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLની ઓપનિંગ સેરેમની નહીં થાય:ભાગદોડ દુર્ઘટના બાદ BCCIનો નિર્ણય, ફાઇનલમાં થશે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોનો ખેલ, દુનિયામાં તોફાનની રેલ:16 એપ્રિલ સુધીનો સમય ભારત અને વિશ્વ માટે અત્યંત કપરો; શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 11 વર્ષના છોકરાએ પ્લેન ઊડાડ્યું અમેરિકામાં 11 વર્ષના ઋષિ શર્માએ ચાર વર્ષની ટ્રેનિંગ પછી વિમાન ઉડાડ્યું. તેણે ઓક્સનાર્ડ એરપોર્ટ પર ટચ-એન્ડ-ગો લેન્ડિંગ કર્યું. જોકે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અમેરિકામાં એકલા ઉડાન ભરવાની મંજૂરી નથી, તેઓ ટ્રેનર સાથે ઊડાડી શકે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પ આટલા વિચિત્ર કેમ છે?:ભત્રીજીએ પરિવારના રહસ્ય ખોલ્યાં, કોઈ માનસિક બીમારી? 7 મુદ્દાથી સમજો જીતવાની જીદનો સાયકોલોજીકલ X-Ray 2. ભાસ્કર સિરીઝ : પૂર્વ પત્રકાર ‘પોઝિટિવ પાજી’ને આગ ચાંપી, આખો દિવસ મારતા રહ્યા: શું આસારામના ગુંડાઓ બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા? સિરીઝનો નવો એપિસોડ 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નદીમાં ગેરકાયદે પુલ બનાવ્યા, દિવસ-રાત ડમ્પરોની દોડધામ:ભાજપ નેતાના પુત્ર, ભાઈની ધોંસ સામે અધિકારી ઢીલા પડ્યા; દોઢ મહિનાની તપાસમાં સાબરમતીમાં ખનનનું રેકેટ ખુલ્યું 4. આજનું એક્સપ્લેનર:મોઢામાં બીડી દબાવીને કલાકો ઊભો રહ્યો ડિલિવરી બોય; શું છે 'ઝોમ્બી ડ્રગ' જે સ્ટેચ્યૂ બનાવી દે છે, ભારતમાં કેવી રીતે પહોંચ્યું? 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 3 દિવસ સુધી ભાસ્કર રિપોર્ટર 'ડિજિટલ અરેસ્ટ':વીડિયો કૉલ પર યુવતી કપડાં ઉતારવા લાગી, 20 અલગ-અલગ ક્લિપ મોકલીને કહ્યું- 2 લાખ આપો 6. એક્સક્લૂસિવ : વિદેશથી દારૂ, સોનું ને લેપટોપ લાવવા બદલ કેટલી ડ્યૂટી લાગે?:નવા બેગેજ રૂલ્સ અંગે જાગૃતિ માટે કસ્ટમ્સ વિભાગે અપનાવી અનોખી રીત, માહિતી આપતા મીમ્સ બનાવ્યા 7. બંગાળમાં ‘ચૂંટણીલક્ષી’ રામનવમી, હિંદુઓની હત્યા મુદ્દો:BJP-હિંદુ સંગઠન 5 દિવસ શોભાયાત્રા કાઢશે, TMC પણ તૈયાર, બોલી- રામ સૌના છે 8. બ્લેકબોર્ડઃ ‘વિધવાઓની ગલી’, જ્યાં એક પણ પુરુષ જીવતો નથી:ગામના દર બીજા ઘરમાં કેન્સરથી મોત; લોકોએ કહ્યું- અમને-બાળકોને પણ થવાનો ડર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: આજે સફળતા વૃષભ રાશિના લોકોના કદમ ચૂમશે, વૃશ્ચિક જાતકોની મનોકામના પૂરી થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મોકડ્રિલ યોજાઈ:પ્રાંતિજ કાટવાડ પાટિયે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે આવેલ હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડમાં મોકડ્રિલનું આયોજન કરાયું હતું. મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગતાં તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને ઓલવવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી કામગીરી કરાઇ હતી. ડ્રિલ દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.
હિંમતનગરના હાંસલપુરમાં નૂતન નિર્માણ થઇ રહેલા હિંમતનગર ગુરુકુલમાં ચૈત્ર સુદ પડવાથી રામનવમી સુધી ચૈત્રી નવરાત્રીના પર્વની ઊજવણી કરાઇ હતી. આ અંગે શાસ્ત્રી વર્ણી સ્વામીએ જણાવ્યું કે સ્કંદપુરાણામાં એવું કહ્યું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન કરવામાં આવેલ સાધનાનું ફળ પુરાણો પણ વર્ણવી શકતા નથી એવું મોટુ પ્રાપ્ત થાય છે. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને નીલકંઠધામ પોઇચાના નિર્માતા પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી જપ, તપ,અને ઝૂલાના માધ્યમથી ચૈત્રી નવરાત્રી અંતર્ગત ગુરુકુલ પરિવારના હિંમતનગર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભક્તોમાં 100 ઉપરાંત ભક્તોએ નવ દિવસ જળ ઉપર ઉપવાસ તેમજ 125 કરતાં વધારે મહિલા પુરુષ ભક્તોએ દિવસમાં એક સમય ફરાળ તેમજ 200 ઉપરાંત ભક્તોએ ફક્ત એક સમય જમીને ભૂમિ શયન કરીને, શ્વેત વસ્ત્રો ધારણ કરીને બ્રહ્મચર્ય વ્રત પાળવાના નિયમ લીધેલ છે. આ ઉપરાંત 300 ઉપરાંત પરિવારોએ નવ દિવસ પોતાના ઘરે પારણીયું બાંધી ભગવાન શ્રી હરી અને રામને પધરાવી દરરોજ 20 મિનિટ ભગવાનને ઝુલાવવાના સંકલ્પ લીધેલ છે. દરરોજ એકથી ચાર વાગ્યા દરમ્યાન મહિલા ભક્તો તેમજ રાત્રિના સમયે 8 થી 10 માં પુરુષ ભક્તો ગુરુકુલ આવીને ભગવાનની 51 પ્રતિમા પધરાવીને જળ દ્વારા અભિષેક કરે છે. જેમાં ખેડાવાળા,રાજપુર, હિંમતનગર, આદિ અનેક વિસ્તારના ભક્તો ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે. 27 તારીખે રાત્રે 8:30 વાગે ગુરુકુલ પ્રાંગણમાં ખૂબ જ ભવયાતિભવ્ય રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી થશે.
ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતી પાટણ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતી ગ્રામીણ અને દૂરના વિસ્તારોની વિદ્યાર્થીનીઓ સુરક્ષા સાથે રહેવા માટે સુવિધા ઉપલબ્ધ થાય માટે કેમ્પસમાં 13.63 કરોડના ખર્ચે ત્રણેય મુખ્ય ગર્લ્સ હોસ્ટેલોનું આધુનિક વિસ્તૃતીકરણ કરવામાં આવશે.જેનાથી વધુ 500 દીકરીઓને સુરક્ષિત નિવાસની સુવિધા મળશે. યુનિવર્સિટી કેમ્પસમાં હાલમાં કાર્યરત PG (અનુસ્નાતક), UG (સ્નાતક) અને રૂસા (RUSA) ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટે દર વર્ષે ભારે ધસારો રહેતો હોય છે.હાલમાં 500 વિદ્યાર્થીનીઓ રહે છે.મર્યાદિત ક્ષમતાને કારણે અનેક વિદ્યાર્થીનીઓને ખાનગી હોસ્ટેલ કે ભાડાના મકાનમાં રહેવું પડે છે. જે વાલીઓ માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય હતો. હવે 13.63 કરોડના ખર્ચે નવા રૂમોનું બાંધકામ થતાં વધારાની 500 વિદ્યાર્થીનીઓ કેમ્પસમાં રહી શકશે. વધુમાં યુનિવર્સિટીના બાંધકામ વિભાગના ઇજનેર વિપુલ ભાઈ સાંડેસરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે ફાળવણી કરતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરાશે. સુરક્ષા માટે કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ કરાશેત્રણેય હોસ્ટેલમાં હવે માત્ર રહેઠાણ સુવિધા પૂરતી સીમિત રહેશે નહીં.નવી હોસ્ટેલમાં વિસ્તૃતીકરણમાં અદ્યતન ભોજનાલય, રમત-ગમત માટે સ્પોર્ટ્સ હોલ અને અભ્યાસ માટે અદ્યતન લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉભી કરાશે. સૌથી મહત્વની બાબત એ છે કે ત્રણેય હોસ્ટેલને સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. સાથે જ પર્યાવરણના જતન અને વીજ ખર્ચ ઘટાડવા માટે આખું પરિસર સોલાર સંચાલિત બનાવવામાં આવશે.
વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં 24 કલાક બાદ 2-3 ડિગ્રી ગરમી ઘટશે
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે 10 દિવસ બાદ ફરી ગરમીનો પારો 37 ડિગ્રી પહોંચ્યો હતો. બપોરે આકરી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જો કે, 24 કલાક બાદ વાતાવરણમાં પલટો આવતાં 2થી 3 ડિગ્રી ગરમી ઘટી શકે છે. તેમજ 29 અને 30 માર્ચે ઉત્તર ગુજરાતના રાજસ્થાનના સરહદી જિલ્લામાં પ્રિ-મોનસૂનનો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં 10 દિવસ બાદ ફરી એકવાર તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચતાં ગરમીનો અહેસાસ વધી ગયો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન પોણો ડિગ્રીનો વધારો નોંધાતા શહેરોમાં બપોરે તીવ્ર ગરમી અનુભવાઈ હતી. આજે પણ આ જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 28 માર્ચથી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. ખાસ કરીને 29 માર્ચે બનાસકાંઠા જિલ્લો માં થંડરસ્ટ્રોમ સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આગળ વધતાં 30 માર્ચે આ એક્ટિવિટી વધુ પ્રબળ બનવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે તેજ પવન અને હળવો વરસાદ થવાની આગાહી છે. જો કે, મહેસાણા અને પાટણ જિલ્લામાં આકાશ ભાગ્યે વાદળછાયું રહેવાની શક્યતા છે,.
પાક સંરક્ષણ માટે કૃષિ નિષ્ણાંતનું સૂચન:મહિનાના અંતે માવઠાથી બચવા તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડો
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આફત મંડરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 29 થી 31 માર્ચ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે ત્યારે કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતોના તૈયાર થયેલા રવિ પાક અને ઊભા ઉનાળુ પાકને નુકસાન ન પહોંચાડે તે હેતુથી કૃષિ એડવાઈઝરી જાહેર કરાઇ છે. જેમાં ખેડૂતોને પાક સુરક્ષા માટે અત્યારથી જ સજ્જ થવા જણાવાયું છે. જિલ્લા કૃષિ અધિકારી બી.જે.જોષીએ જણાવ્યું કે માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોએ આ સમય ગાળા દરમિયાન ઊભા પાકમાં પિયત આપવાનું બંધ કરવું. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલ (ડ્રેનેજ) માટે યોગ્ય નિકો બનાવવી જેથી પાકના મૂળ કોહવાય નહીં. વધુમાં જ્યાં સુધી હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું ન થાય ત્યાં સુધી જંતુનાશક દવાઓ કે ખાતરનો છંટકાવ મુલતવી રાખવો હિતાવહ છે. જે ખેડૂતોના ઘઉં, ચણા અને વરિયાળી જેવા શિયાળુ પાક તૈયાર થઈ ગયા હોય. તેમણે વિલંબ કર્યા વગર વહેલી તકે કાપણી કરી લેવી જોઈએ અને તૈયાર માલને સુરક્ષિત ગોડાઉન કે છત નીચે ખસેડી લેવો. જો પાક ખેતરમાં ઢગલાં સ્વરૂપે હોય, તો તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો જેથી નીચેથી ભેજ ન લાગે અને ઉપરથી વરસાદી પાણીથી બચાવી શકાય. ખાસ કરીને જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોમાં ચરમી કે કાળિયો રોગ આવવાની શક્યતા વધુ હોવાથી ખેડૂતોએ વિશેષ તકેદારી રાખવી પડશે. બીજી તરફ, ઉનાળુ પાકોમાં મગફળી, મગ અને તલના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ અટકી શકે છે અને છોડ પીળા પડી શકે છે. ડાંગરની ક્યારીમાં જો વરસાદનું નવું પાણી આવે, તો અગાઉ ભરેલું જૂનું પાણી કાઢી નાખવું હિતાવહ છે. વરસાદ બાદ વાતાવરણમાં ભેજ વધવાને કારણે ફૂગજન્ય રોગો અને ચુસિયા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે, તેથી વરસાદ રોકાયા બાદ દવાનો છંટકાવ કરવો જરૂરી છે.
પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો:સાબરકાંઠામાં 6 PSIની બઢતી સાથે બદલી, 4 PI જિલ્લા બહાર મૂકાયા
હિંમતનગર રાજ્યના પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા રાજ્યના 254 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરને તરીકે હંગામી ધોરણે બઢતી આપીને તેમના નવા નિમણૂંકના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 6 પોલીસ સબ ઈન્સ્પેકટરને બઢતી સાથે જ્યારે 4 પોલીસ ઈન્સ્પેકટરને અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. તેવી જ રીતે બહારના જિલ્લામાંથી 6 પોલીસ ઈન્સ્પેકટરની સાબરકાંઠા જિલ્લામાં નિયુક્તિ કરાયા છે.
અરવલ્લી LCBની ટીમે ધાડનો ભેદ ઉકેલ્યો:મોડાસામાં લૂંટ કરનાર એમપીનો શખ્સ ઝબ્બે
અરવલ્લી LCBએ મધ્યપ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી બે મહિના અગાઉ મોડાસાની અંજનીવિલા સોસાયટીમાં ત્રાટકી લોકોને બંધક બનાવી લૂંટ કરી હોવાનો ગુનો ઉકેલ્યો હતો. પોલીસે બાતમી આધારે આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લઈ ગુજરાત અને એમપીના કુલ 24 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, શંકાસ્પદ શખ્સ સોના-ચાંદીની રણીઓ વેચવા માટે સોની બજારમાં ફરી રહ્યો છે પોલીસે વોચ ગોઠવીને મોડાસા બસ સ્ટેશન રોડ પરથી લાલુ મંડલોઈ (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી તેની તલાશી લેતા તેની પાસેથી સોના અને ચાંદીની રણીઓ મળી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, બે માસ અગાઉ તેણે પોતાના અન્ય 5 સાગરિતો સાથે મળીને મોડાસા-ગોધરા હાઈવે પર આવેલી અંજનીવિલા સોસાયટીમાં રાત્રિના સમયે લોકોના હાથ-પગ બાંધી લૂંટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલ અન્ય પાંચ આરોપીઓ સોમલા બધેલ, ગુડ્ડુ ઉર્ફે ગજેન્દ્રસિંહ, સરદાર ઉર્ફે સરદન મહેડા, ઈશ્વર બામણીયા અને નરુ મહેડાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઇમાનદારીના દર્શન થયા:દિયોદર 108ની ટીમે રૂ.1.75 લાખ પરિવારને પરત આપ્યા
આપાતકાલીન પરિસ્થિતિમાં દેવદૂત સમાન સેવા આપતી 108 એમ્બ્યુલન્સ ટીમે દિયોદરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુરુવારે સાંજે સુરાણા ગામ પાસે એક્ટીવા અને આખલા વચ્ચે અકસ્માત સર્જાતા પ્રવીણભાઈ નટવરભાઈ ઠક્કર (રહે.દિયોદર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સના ઇએમટી દેવરામભાઈ ઉપાધ્યાય અને પાયલોટ બિપીનભાઇ ત્રિવેદીએ પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તને દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન પ્રવીણભાઈ પાસે રહેલ રોકડ રકમ રૂ.1.75 લાખ, મોબાઈલ, પાકીટ, એક્ટીવાની ચાવી અને જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રીતે એકત્રિત કર્યા હતા.આ તમામ માલમત્તા પ્રવીણભાઈના નાનાભાઈ કનુભાઈ નટવરભાઈ ઠક્કર (રહે. દિયોદર)ને સોંપી હતી.
પાલનપુરમાં ગુરૂવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા નીકાળવામાં આવેલી ભવ્ય શોભાયાત્રામાં શ્રદ્ધા, શિસ્ત અને સ્વચ્છતાના દર્શન થયા હતા. જ્યાં બપોરે 12.27‘ભય પ્રગટ કૃપાલા’ના ગુંજારવ સાથે મહાઆરતી યોજાઈ હતી. જે પછી મહંતશ્રી રાઘવદાસ બાપુની નિશ્રામાં શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રામાં ફૂલોથી શણગારેલા બે ભવ્ય રથ, ઊંટ લારીઓ અને ભગવાન રામ-સીતા-લક્ષ્મણની ઝાંખીઓ સાથે ભાવિક ભક્તો જોડાયા હતા.જેમાં મહિલાઓ કેસરીયા સાફા અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હતી. શોભાયાત્રા પરંપરાગત રૂટ મોટીબજાર, નાની બજાર, ત્રણ બત્તિ વિસ્તારમાંથી પસાર થતાં અડધો કલાક થયો હતો. જ્યાં પોલીસે સુરક્ષાની ખાસ તકેદારી રાખી હતી. જે પછી તબક્કાવાર ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશ મહેતા ચોક,ગલબાભાઇની પ્રતિમા, અયોધ્યાનગર, ગોબરીરોડ, સંજય ચોક, સીટીલાઇટ, ગુરૂનાનક ચોક, કિર્તીસ્તંભ,રેલવે સ્ટેશન, સિમલાગેટ, નગરપાલિકા, લક્ષ્મણ ટેકરી, વિજય ચોક, શક્તિનગર, બ્રિજેશ્વર કોલોની થઇ સાંજે 7.00 કલાકે નિજસ્થળે પરત આવી હતી. વિવિધ સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા લીંબુ શરબત, પાણીનું વિતરણ કરાયું હતુ.આયોજકો ખુદ રસ્તામાં પડેલો કચરો વિણી સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવ્યું હતુ. સંવેદનશીલ વિસ્તારમાં બજાર બંધ કરાવાયુંરામજીમંદિરથી શોભાયાત્રા સંવેદનશીલ નાની બજાર, મોટી બજાર અને ત્રણબત્તિ વિસ્તારમાં પહોંચી ત્યારે સુરક્ષાને લઇ પોલીસ દ્વારા તમામ દુકાનો બંધ કરાવી હતી. વિસ્તારની ગલીઓના રસ્તા બેરીટેક બાંધી બંધ કરી દેવાયા હતા. સાથે યુવકોના હાથમાં રહેલી તલવારો પણ પોલીસે લઇ લીધી હતી.
પોલીસ વિભાગમાં બદલીનો દોર:14 PSIને પીઆઈ તરીકે બઢતી સાથે નવી નિમણૂંક, 16 PIની જિલ્લા બહાર બદલી
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લાંબા સમયથી પ્રતિક્ષિત એવી બઢતી પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા જારી કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજ્યભરના બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપીને નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. આ ફેરફારમાં બનાસકાંઠા જિલ્લાના અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોને નવા પોલીસ ઇન્સ્પેક્ટર મળ્યા છે.
ફરાર આરોપી ઝડપાયો:11 માસથી નાસતો ફરતો રીઢો ગુનેગાર બાડમેરથી ઝડપાયો
સમી પોલોસે બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા 11 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો રીઢો આરોપી રાવતારામ જાટને આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પીઆઈ એ.પી. જાડેજાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ગુપ્ત બાતમી આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો.30 વર્ષીય આરોપી વ્યવસાયે ડ્રાઈવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:યુથ પાર્લામેન્ટમાં પાટણનો યુવાન સતત બીજા વર્ષે જિલ્લામાં પ્રથમ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.કટોકટીના 50 વર્ષ: ભારતીય લોકશાહી માટે પાઠ વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી પસંદ થયેલા 14 તેજસ્વી વિદ્યાર્થીઓએ વાકછટાના જૌહર બતાવ્યા હતા. જેમાં હિતેશ જોષીએ હિન્દી ભાષામાં કટોકટીના કાળા અધ્યાય અને પ્રેસની આઝાદી પર થયેલા પ્રહારની અત્યંત પ્રભાવશાળી રજૂઆત કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. નોંધનીય છે કે હિતેશ જોષીએ ગત વર્ષે પણ જિલ્લામાં પ્રથમ આવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં સ્પીચ આપી હતી. આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ સગા ભાઈ-બહેનની જોડી રહી હતી. હિતેશ જોષીએ પ્રથમ ક્રમ મેળવ્યો તો તેની બહેન નેહા જોષીએ અંગ્રેજી ભાષામાં ધારદાર રજૂઆત કરી પાંચમો ક્રમ મેળવ્યો હતો. સ્પર્ધાના ટોપ-5 વિજેતાઓમાં પ્રથમ હિતેશ જોષી બીજો ક્રમ કુલદીપ પટેલ , ત્રીજો ક્રમ મીરા રાજગોર , ચોથો ક્રમે ઋત્વિક રાવલ પાંચમો ક્રમ નેહા જોષી મેળવ્યો હતો. આ પાંચેય વિજેતા સ્પર્ધકો આગામી બુધવારે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ભાસ્કર બ્રેકિંગ:પાટણ- સિદ્ધપુર બાદ ચાણસ્મા પણ પીએનજી નેટવર્કથી જોડાશે
અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવના સીધા પ્રભાવથી એલપીજી ગેસ બુકિંગમાં માર્ચ મહિનામાં અંદાજે 40 ટકાનો ઉછાળો આવ્યો છે, ત્યારે ગેસની વધતી માંગ વચ્ચે ચાણસ્મા શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પાટણ અને સિદ્ધપુર બાદ હવે ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થશે. ચાણસ્મા શહેરમાં પીએનજી ગેસ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કંપનીએ માર્ચ મહિનાના અંત સુધી ગેસ સપ્લાય શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ગેસ શરૂ થયા બાદ માત્ર 15 દિવસમાં ઘરેઘરે કનેક્શન પહોંચાડવાનું આયોજન છે. સાબરમતી ગેસ કંપનીના સૂત્રો મુજબ, ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહી છે. આ તરફ એલપીજી પર દબાણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં 3,11,660 ઘરેલુ અને 2,175 કોમર્શિયલ કનેક્શન છે. 9 થી 23 માર્ચ દરમિયાન 68,200થી વધુ સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે બુધવારે 6,959 સિલિન્ડરના સ્ટોક સામે આશરે 9,000 બુકિંગ નોંધાયા હતા.ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થતાં એલપીજીની અછત વચ્ચે લોકોને મોટો વિકલ્પ મળશે અને સતત, સુરક્ષિત ગેસ સપ્લાયથી શહેરને રાહત મળશે. આ અંગે પાટણ પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.કે હાલમાં પાટણ અને સિદ્ધપુરમાં 125 જેટલા નવા પીએનજી કનેક્શન આપવા પ્રક્રિયા ચાલી રહી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:9 વર્ષના વિલંબ બાદ પાટણના બસપોર્ટનો આજે શૂભારંભ
પાટણ શહેરમાં 17 કરોડના ખર્ચે 2583 ચોરસ મીટરમાં બનેલા ‘આઈકોનિક બસ ટર્મિનલ’ (બસપોર્ટ) નું વર્ષ 2017 માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. નવ વર્ષની શહેરીજનોની લાંબી પ્રતિક્ષા બાદ હવે શુક્રવારે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવનાર છે. અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસ સ્ટેન્ડ માત્ર મુસાફરો માટે પરિવહનનું માધ્યમ જ નહીં, પરંતુ વિસ્તારમાં 9 વર્ષથી પડી ભાગેલા વેપારીઓના ધંધા રોજગારને વેગ આપનાર બનશે. સાથે આ શહેરનું નવું બસપોર્ટ મુસાફરોને મુસાફરીની સાથે મનોરંજન, ભોજન અને શોપિંગની સુવિધાઓ પણ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવશે. પાટણ વેપારી એસોસિયેશના પ્રમુખ મહાશુખલાલ મોદી અને વેપારી હરેશ મોદીએ જણાવ્યું હતું કે, હવે શહેરના હાર્દ વિસ્તારમાં નવું બસ સ્ટેન્ડ શરૂ થશે એટલે છેલ્લા 8 વર્ષમાં ગ્રાહકો સાથેનો સંપર્ક અને સંબંધોમાં જે અંતર આવ્યું હતું તે દૂર થશે અને સમગ્ર બજારમાં ફરીથી 30 ટકા સુધી તેજી આવશે. જે તમારે જાણવું છે... બસપોર્ટમાં શું નવી સુવિધા અને મુસાફરોને શું ફાયદા બસપોર્ટમાં સ્ટાફ માટે રહેવા ક્વાટર્સ અને આરામ પણ રેસ્ટરૂમની વિશેષ સુવિધા હશેજૂના બસ સ્ટેશનમાં કે હાલ હંગામી બસ સ્ટેશનમાં કર્મચારીઓને સૂવા માટે કે રહેવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોય તેમને બાંકડા ઉપર સૂવું પડતું હતું. આ બસપોર્ટમાં નિગમના કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રખાયું છે. મહિલા અને પુરુષ ડ્રાઇવર-કંડક્ટર માટે અત્યાધુનિક રેસ્ટરૂમ અને રહેવા માટે રેસિડેન્શિયલ ક્વાર્ટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 20 કર્મચારીઓ, 823 થી વધુ બસ ટ્રીપોનું સંચાલન થશેપાટણ એસ.ટી. ડેપો દ્વારા દૈનિક 823 બસ ટ્રિપોના સંચાલન સાથે આ ડેપોની બસો દરરોજ 34,866 કિલોમીટરનું અંતર કાપે છે. સમગ્ર ડેપોનું સંચાલન 20 કર્મચારીઓ કરશે. ટોટલ ડ્રાઇવર કંડકટર સહિત વહીવટી મળી કુલ 350 જેટલા કર્મચારીઓ ડેપોના છે વેપારીઓના અચ્છે દિન પરત ફર્યા પાટણ વેપારી એસોસિયેશનના પ્રમુખમહાશુુખલાલ મોદી અને વેપારી હરેશ મોદીએજણાવ્યું હતું કે હવે જૂનું બસ સ્ટેશન બંધ થતાલોકો નવા બસ સ્ટેશનમાં ઉતરીને કામ પૂર્ણકરીને ચાલ્યા જતા હતા.હવે શહેરના હાર્દવિસ્તારમાં નવું બસ સ્ટેશન શરૂ થશે એટલેછેલ્લા 8 વર્ષમાં ગ્રાહકો સાથેનો સંપર્ક અનેસંબંધોમાં અંતર આવ્યું હતું તે દૂર થશે અનેફક્ત બસ સ્ટેશન આસપાસ જ નહીં પરંતુસમગ્ર બજારમાં ફરીથી 30 ટકા સુધી તેજીઆવશે.
વેલિડેશન એક્ટ-2025 વિરુદ્ધ પેન્શનરો મેદાને ઉતર્યા:પેન્શનર્સ સુધારણા બિલનો પેન્શનરો દ્વારા ઉગ્ર વિરોધ
પેન્શનરોના હકોને નુકસાન પહોંચાડતો હોવાના આક્ષેપ સાથે મહેસાણામાં વેલિડેશન એક્ટ-2025 વિરુદ્ધ પેન્શનરો મેદાને ઉતર્યા હતા. કાયદાના એક વર્ષ પૂર્ણ થતાં બુધવારે વિરોધ દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા પેન્શનર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પેન્શનરોના જણાવ્યા મુજબ, 25 માર્ચ 2025ના રોજ કોઈ પૂર્વ સૂચના વિના લોકસભામાં આ કાયદો પસાર કરાયો હતો. આ કાયદાને કારણે નિવૃત્તિ તારીખના આધારે પેન્શનરો વચ્ચે ભેદભાવ ઊભો થયો છે. ખાસ કરીને જૂના પેન્શનરોને નવા પગાર પંચના લાભોથી વંચિત રહેવું પડશે, જેનાથી તેમને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે. આ કાયદો સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નાકરા જજમેન્ટના વિરુદ્ધ છે, જેમાં પેન્શનને સામાજિક સુરક્ષા અને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર ગણાવ્યો છે.
મહેસાણા શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર મહેશ્વરી સોસાયટીથી ચામુંડા ચોકડી સુધી 120 મીટર અંતરમાં અધૂરી ખુલ્લી કેનાલ ઉપર મહાનગરપાલિકા દ્વારા રોડ કરી દેવામાં આવતા રસ્તો ત્રણથી સાડા ચાર મીટર પહોળો સારો થયો છે પરંતુ આ રસ્તો કર્યા પછી ઉપરથી માટી ઉપાડીને સફાઈ કરવામાં ન આવતા માટી આખાય રસ્તામાં ફેલાતા રસ્તો ધૂળિયો બન્યો છે. આખા રસ્તામાં બે દિવસથી માટી ઉડી રહી છે. પસાર થતા ટુ વ્હીલર ચાલકો રસ્તામાં માટીના કારણે સ્લીપ ખાઈ જવાનો ભય તોડાઈ રહ્યો છે. યુજીવીસીએલ ચોકડીથી પોસ્ટ ઓફિસ નજીક અગાઉ જ ખુલ્લી વરસાદી કેનાલ ઉપર રોડ કરાયો હતો. મહેશ્વરી સોસાયટીથી પોસ્ટ ઓફિસ સર્વોદય વિભાગ 2, શાંતીકુંજ, ધરતી પાર્ક, શિવકુંજ થઈને મેઇન રોડ ચામુંડા ચોકડી તરફ રસ્તાની સાઈડમાં કેનાલ ખુલ્લી હતી. આ ખુલ્લી કેનાલમાં પણ વરસાદી પાણીની પાઇપલાઇન ઉતારીને ઉપર રોડ કરી દેવાયો છે. આ કામ પૂરું થઈ ગયા પછી માટીના થર જામ્યા છે. માટી ઉપાડવામાં આવી નથી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ કરાયા પછી સફાઈ કરવામાં ન આવતા અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
દારૂની પરમિટ:પાટણમાં દારૂની પરમિટ વધી, મહેસાણામાં ઘટી
પાટણ-મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં દારૂ પરમીટના આંકડાનું એનાલિસીસ કરતા ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. જેમાં પાટણમાં દારૂની પરમિટ મેળવનાર લોકોના આંકડા વધી રહ્યા છે. બીજી તરફ જ્યારે મહેસાણામાં પરમિટ લેવાના આંકડા ઘટ્યા છે. 31 ડિસેમ્બર 2025 સુધીનાં આંકડા મુજબ પાટણ જિલ્લામાં કુલ 80 લોકો પાસે દારૂ પરમિટ છે, જ્યારે મહેસાણા જિલ્લામાં આ સંખ્યા 421 છે. જો કે,વર્ષ 2024 દરમિયાન પાટણમાં ફક્ત 2 નવા પરમિટ આપવામાં આવ્યા હતા, જ્યારે 2025માં આ આંકડો વધીને 4 થયો છે. બીજી તરફ મહેસાણામાં 2024માં 29 નવા પરમિટ અપાયા હતા,જે 2025 માં ઘટીને 22 થયા છે.
પોલીસ બેડામાં બદલીનો માહોલ:જિલ્લાના 10 પીઆઇની બદલી, 3 નવા પીઆઇ
રાજ્યમાં ગુરુવારે 518 પીઆઇની બદલી સાથે 254 પીએસઆઇને પીઆઇની બઢતી આપી બદલી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી 10 પીઆઇની રાજ્યના અલગ-અલગ શહેરોમાં બદલી થઇ છે. જ્યારે આ બદલી પ્રક્રિયામાં મહેસાણા જિલ્લાની 10 નવા પીઆઇ મળ્યા છે. બીજી બાજુ જિલ્લામાંથી 9 પીએસઆઇને પીઆઇની બઢતી આપી અન્ય જિલ્લામાં બદલી કરાઇ છે. જ્યારે 3 નવા પીઆઇ મળ્યા છે. પીઆઇની બદલી બદલી થઈને આવેલા પીએસઆઇથી બઢતી મહેસાણામાં બદલી
વાંધા નોંધાવવાનો આજે છેલ્લો દિવસ:મનપા યાદીમાં 2 હજાર મતદારોના વોર્ડ ફેરના વાંધા
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદીમાં અનેક સોસાયટી અને ફ્લેટ વિસ્તારો અન્ય વોર્ડમાં સામેલ થયા હોઇ વોર્ડ ફેર સુધારા કરવા અરજીઓનો ખડકલો થયો છે. આ મુદ્દે અત્યાર સુધી અંદાજે બે હજારથી વધુ મતદારો દ્વારા સામૂહિક વાંધા-સૂચનો નોંધાવવામાં આવ્યા છે. મતદારો દ્વારા વોર્ડ સીમાંકન મુજબ યોગ્ય વોર્ડમાં નામ ફેરફાર કરવા માટે લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે. મનપાની મતદાર યાદી શાખામાં રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ યોગ્ય લાગતા કેસોમાં અંતિમ મતદાર યાદીમાં સુધારો કરવામાં આવશે. વાંધા નોંધાવવાનો આજે શુક્રવાર અંતિમ દિવસ છે અને તા. 31 માર્ચ સુધીમાં ચકાસણી પૂર્ણ થશે. મનપાના ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ જાહેર થયેલી એસઆઈઆર યાદી આધારિત છે. ત્યારબાદ ભરાયેલા ફોર્મ નં. 6 અને 8ના આધારે થયેલા ફેરફારો હજી પુરવણી યાદીમાં સમાવિષ્ટ થવાના બાકી છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા પુરવણી મતદારયાદી આવતી હોય છે અને ઈ રોલમાં આવી ગયા હોય તે નામો પુરવણી યાદીમાં આવતા હોય છે આ સોસાયટીઓની માંગ, ચકાસણી બાદ નિર્ણય લેવાશે 200ના નામ પ્રાથમિક યાદીમાં નથી ચૂંટણી તંત્રમાં ફોર્મ નં. 6 ભર્યા હોવા છતાં મનપાની પ્રાથમિક મતદાર યાદીમાં નામ ન આવેલા અંદાજે 200 મતદારોને સામેલ કરવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીઓ મુખ્યત્વે વોર્ડ નં. 7માંથી કરવામાં આવી છે. ફોર્મ નં. 8 ભર્યા તે પ્રમાણે મતદારયાદીમાં નથી. પૂર્વ પ્રમુખ દંપતીની પણ અરજીમહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખમુકુંદકુમાર અંબાલાલ પટેલે પોતાનું નામહાલના વોર્ડ નં. 2 ઉમિયાનગરમાંથી બદલીવોર્ડ 1 રાધનપુર રોડ (શૈલજા ગ્રીન્સ )માં દાખલકરવા અરજી કરી છે. વર્ષાબેન મુકુંદભાઈ પટેલેપણ વોર્ડ નં. 8 અક્ષરધામ એપાર્ટમેન્ટ પાસેથીનામ બદલીને વોર્ડ નં. 1(શૈલજા ગ્રીન્સ) માંદાખલ કરવા જરૂરી પુરાવા સાથે અરજી કરી છે.
ધરપકડ:અમરેલી ફર્લો સ્ક્વોડે ગેંગરેપના એક ફરાર કેદીને ઝડપી પાડ્યો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર જેલમાં હાજર ન થતા ફરાર થયેલા ગેંગરેપના ગુનામાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદીને અમરેલી પોલીસની પેરોલ-ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે. રાજકોટ ગેંગરેપનો ઇમરાન ઉર્ફે ઇમુ સોલંકી (ઉ.વ.30) નામનો કેદી ફર્લો રજા પરથી હાજર નહીં થતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પો.ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના રાહબરી હેઠળ પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ કેદી જેલમાં સમયસર હાજર ન થવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે બ્લેડથી પોતાના હાથની નસ કાપી નાખતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશમાં હતો. આ માહિતી મળતા જ પેરોલ-ફર્લો સ્કવોર્ડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
કરૂણાંતિકા:કબુતર પકડવા કુવામાં ઉતરતા મજૂરનું પાણીમાં ડૂબતા મોત
લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક મજૂરી કામ કરતા વૃદ્ધ કુવામાં કબૂતર પકડવા ઉતરતી વખતે દોરડું છૂટી જવાથી પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. લાઠીના ભુરખીયા ગામે રહેતા અને મૂળ અલીરાજપુર એમપીના રહેવાસી મૃતક વિક્રમભાઈ ઈડીયાભાઈ (ઉ.વ.60) હાલ લાઠીના ભુરખીયા ગામે પ્રકાશભાઈ મુળજીભાઈ બરડાની વાડીએ મજૂરી કામ કરી રહેતા હતા. તે દરમિયાન રાત્રે 8 વાગ્યે નાથાભાઈ ભુરાભાઈ સરધારાની વાડીના કૂવામાં તેઓ કબુતર પકડવા માટે ઉતરતા હતા ત્યારે તેમના હાથમાં રહેલું દોરડું અચાનક છૂટી જતા તેઓ કુવાના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું અકસ્માતે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે તેમના પુત્ર રમેશ વિક્રમભાઈ અજનાર (ઉ.વ.30) એ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી શહેરમાં 10 કરોડથી વધુનો ખર્ચ કરી સેન્ટર પોઈન્ટથી લાઠી બાયપાસ સુધીનો નવો આરસીસી રોડ બની રહ્યો છે. પરંતુ બન્યાના ત્રણ માસમાં જ રોડ તુટવા લાગ્યો છે અને ટેસ્ટીંગમાં પણ આ રોડ નબળો હોવાનું સાબીત થતા તંત્રએ કોન્ટ્રાકટરને 150 મીટરનો રોડ ઉખેડી નાખી તેના સ્થાને નવો બનાવવાની ફરજ પાડી છે. આવી જ સ્થિતિ ચિતલ રોડની છે. જો કે તંત્રની મિલી ભગતથી આખો રોડ ખરાબ બન્યો હોવા છતાં માત્ર થોડા ટુકડા જ નવા બનાવાયા છે. અમરેલીમાં 2800 મીટરનો લાઠી બાયપાસ સુધીનો રોડ આરસીસીનો બનાવવામાં આવ્યો છે. હાલ તો બાયપાસ અને ઠેબી ડેમના પાળાથી લઈ છેક રાધેશ્યામ ચોકડી સુધી નવા રોડનું કામ શરૂ છે. આ રોડ જુદા જુદા ટુકડામાં બનાવવામાં આવી રહ્યા છે. સેન્ટર પોઈન્ટથી લાઠી રોડનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સેન્ટર પોઈન્ટથી ચિતલ રોડનું કામ હજુ શરૂ છે. 20 કરોડથી વધુના ખર્ચે આ બંને રોડ નવા બની રહ્યા છે. ચિતલ રોડ 10 કરોડથી વધુના ખર્ચે બન્યો છે. 2800 મીટરના આ નવા બનેલા રોડની મજબુતાઈનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે ટેસ્ટીંગ રીપોર્ટ ફેલ આવતા માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાકટરને નબળો માર્ગ તોડી તેના સ્થાને ફરી નવો માર્ગ બનાવવા હુકમ કર્યો છે. જેના પગલે હાલમાં લાઠી રોડ પર 150 મીટરનો રોડ કોન્ટ્રાકટરના ખર્ચે તોડવામાં આવી રહ્યો છે. તેના સ્થાને હવે કોન્ટ્રાકટરના ખર્ચે જ નવો રોડ બનાવવામાં આવશે. આવી સ્થિતિ માત્ર લાઠી રોડની નથી. પણ ચિતલ રોડની પણ છે. આ રોડ તો હજુ બની રહ્યો છે અને રોડનું 40 ટકા જેટલું કામ બાકી પણ છે. આમ છતાં તે તુટવા લાગ્યો છે. જેને પગલે બે સ્થળે રોડ તોડી તેને નવો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અમરેલીના જેસીંગપરાથી રાધેશ્યામ ચોકડી સુધી પણ રોડ નવો બન્યો છે. તેનું કામ પણ નબળું થયું છે. અમરેલી શહેરને રસ્તાના આવા અનેક કામો સરકાર ફાળવી તો રહી છે. પરંતુ ભ્રષ્ટ સરકારી બાબુઓની મિલીભગતથી રસ્તાના કામો નબળા ચાલી રહ્યા છે. આવા દરેક કિસ્સામાં નક્કર પગલાં લેવાવા જોઈએ. રસ્તા ઉપર પણ મોટા પ્રમાણમાં તિરાડો પડીલાઠી અને ચિતલ રોડ પર રસ્તાના કામ ચાલુ છે. ત્યાં જ તેમાં તિરાડો પણ પડવા માંડી છે. ચિતલ રોડ પર તો કેટલાક સ્થળેથી રસ્તાનું સ્ટ્રક્ચર રીતસર ભાંગી ગયું છે. ડામર લગાવી તિરાડો છુંપાવવાનો પ્રયાસ લાઠી અને ચિતલ રોડ પર જે સ્થળે રસ્તો ભાંગી ગયો છે. તેને છુંપાવવા કોન્ટ્રાકટર દ્વારા પ્રયાસ. તિરાડો પર ડામર પાથરી તેને છુંપાવવામાં આવી રહી છે.
હુકમ:અમરેલી જિલ્લામાંથી 8 PI ની જિલ્લા ફેરબદલી કરવામાં આવી
અમરેલી જિલ્લામાંથી 8 પીઆઈની જિલ્લા ફેરબદલી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં નવા 6 પીઆઈ અને 4 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પીઆઈ એ.ડી.ચાવડા, એમ.આર.શેઠ, એ.એમ.દેસાઈ, સી.એસ.કુગસિયા, આર.ડી. ચૌધરી, એસ.એમ.સોની અને ડી.કે.વાઘેલા તથા આઈ.જે. ગીડાની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સુરત શહેરથી એમ.બી. ઔસુરા, અમદાવાદ ગ્રામ્યમાંથી એચ.એચ. સેંગલીયા, વડોદરા શહેરમાંથી એસ.એમ.સગર, ગાંધીનગરમાંથી આર.આર. પરમાર, સુરત ગ્રામ્યમાંથી બી.જી.ઈશરાણી, પોરબંદરથી વી.કે. ગાલવેલકરની અમરેલીમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે અમરેલીમાંથી પીએસઆઈ ભૂનિકાબેન ભટ્ટની સીઆઈડી ક્રાઈમમાં બદલી કરવામાં આવી હતી. તેમજ વડોદરા શહેરમાંથી નીતીરાજસિંહ જાડેજા, આણંદથી વિજય રાઠોડ, કચ્છ ગાંધીગ્રામથી મયુરરાજસિંહ ઝાલા અને એટીએસમાંથી કાનજી સોલંકીની અમરેલીમાં પીએસઆઈ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. રાજ્યમાં આજે પોલીસ મહાનિરીક્ષક વહિવટી ગગનદીપ ગંભીર દ્વારા પીએસઆઈ અને પીઆઈની બદલીનો હુકમ કર્યો હતો.
ફરિયાદ:ધારીમાં પેટ્રોલ પંપના સંચાલક ઉપર હુમલો
પેટ્રોલ નહીં મળેની અફવાઓએ હાલ જોર પકડતા પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે, ત્યારે ધારીના નસિત પેટ્રોલપંપની પણ આવીજ હાલત છે, ત્યાં પણ લાંબી કતારો જોવા મળી હતી, તે દરમિયાન ભરડ ગામનો લાલો લાઇનમાં ઉભા રહ્યા વિના આડેથી વાહન રાખીને ડીઝલ ભરાવવા માટે દબાણ કરતો હતો, જેથી પંપના સંચાલક સુકેતુભાઇ જયેશભાઇ નસીત (ઉ.વ.30)એ નિયમ મુજબ લાઇનમાં ઊભા રહી ડીઝલ ભરાવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી તું અહીં ઉભોરે કહી કોઈને ફોન કર્યો હતો બાદમાં લાલો, ઉદય નકુમ, શિવરાજ સભાડ અને બે અજાણ્યા સહિત 6 શખ્સો ધસી આવી અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરતા પંપના માલિક ઇજાગ્રસ્ત થયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે પંપના માલિક સુકેતુભાઈ નસીતે ફરિયાદ આપતા ધારી પોલીસે લાલો રહે.ભરડ, ઉદય ગોબરભાઇ નકુમ રહે.પ્રેમપરા, દીપુ ઓઢાભાઇ સાભાડ રહે.ભરડ, શિવરાજ ખુમાણ રહે.ભરડ અને બે અજાણ્યા મળી કુલ 6 શખ્સો સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પેટ્રોલ-ડીઝલની તંગી અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં પણ ગેરસમજ અને અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ પંપ પર ભીડ વધતી જોવા મળે છે. ઘટનાને પગલે પંપ સંચાલકે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
અફરાતફરીનો માહોલ:દેવળામાં ઝેરી મધમાખીનો આતંક : 6 લોકોને ડંખ માર્યા
ધારીના દેવળા ગામે ઝેરી મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી છે. દરમિયાન ધારીના દેવળા ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓનું ટોળું ઊડીને આવ્યું હતું અને ત્યાં બેઠેલા લોકોને ડંખ મારતા 6 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેવળાના બસ સ્ટેન્ડ નજીક અચાનક મધમાખીઓનું એક ઝુંડ ઉડીને આવ્યું હતું અને ત્યાં બેઠેલા લોકો ઉપર હુમલો કરી દેતા મધમાખીઓના હુમલામાં 6 થી વધુ લોકોને ડંખ મારતા તેઓને ઝેરી અસર થઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ મારફતે 6 લોકોને તાત્કાલિક સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે દેવળા ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
દુર્ઘટના:સ્મશાન પાસે ભેખડ માથે પડતા દબાઈ જતા ખેડૂતનું મોત થયું
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં એક ખેડૂતનું મોત થયાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ગઈ કાલે સવારે 11 વાગ્યાની આસપાસ ખાખબાઈ ગામના પ્લોટ વિસ્તારથી નદી તરફ જવાના રસ્તા પર આવેલા સ્મશાન નજીક આ ઘટના બની હતી. રાજુલાના ખાખબાઈ ગામે રહેતા મૃતક ખેડૂત રમેશભાઈ દેવદાનભાઈ સાંખટ (ઉ.વ.45) સ્મશાન પાસે નદી તરફ જવાના રસ્તા નજીક લઘુશંકા કરવા ઉભા હતા. ત્યારે અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં તેઓ નીચે દબાઈ ગયા હતા. ઘટનામાં ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તેમના દીકરા ગૌતમભાઈ રમેશભાઈ સાંખટ (ઉ.વ.21)એ જાણ કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ શરૂ કરી હતી.
નર્મદા જિલ્લો બન્યો ત્યારથી અત્યાર સુધી જિલ્લામાં 'ફૂડ એન્ડ ડ્રગ્સ' વિભાગની સ્વતંત્ર કચેરી કાર્યરત નથી. હાલ નગરપાલિકા દ્વારા જેમ-તેમ ગાડું ગબડાવવામાં આવે છે, પરંતુ મુખ્ય વિભાગની ગેરહાજરીને કારણે લારી-ગલ્લા, હોટલો અને ધાબાવાળાઓ બેફામ બન્યા છે. નર્મદા જિલ્લો પ્રવાસન ધામ હોવાથી અહીં ભરૂચ કરતા પણ વધુ હોટલો અને ખાણી-પીણીના સ્ટોલ્સ આવેલા છે, તેમ છતાં અહીં ફૂડ એન્ડ ડ્રગ્સની અલાયદી ઓફિસનો અભાવ છે. પરિણામે નિયમિત ચેકિંગ થતું નથી અને માત્ર દિવાળી જેવા તહેવારોમાં ભરૂચથી અધિકારીઓ આવી નામ પૂરતી તપાસ કરીને ચાલ્યા જાય છે. હાલમાં એક મહિનો ચાલનારી નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમા પથ પર ઊભા કરાયેલા ભંડારાઓ અને દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈ સ્વચ્છતાની ખાતરી કરી હતી તેમજ સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનોને પરિક્રમાવાસીઓને તાજો ખોરાક અને નાસ્તો પીરસવા સૂચના આપી હતી. જોકે, કાયમી ઓફિસના અભાવે આવી ઓચિંતી તપાસ માત્ર ધાર્મિક પ્રસંગો પૂરતી જ મર્યાદિત રહેતી હોવાથી તે હાસ્યાસ્પદ બની રહી છે. પરિક્રમા પથ પર જ કેમ જાગ્યું તંત્ર? પ્રવાસન ધામને કારણે નર્મદામાં ભરૂચ કરતા પણ વધુ ખાણી-પીણીના સ્ટોલ્સ છે. આમ છતાં, આખું વર્ષ મૌન રહેતું તંત્ર અચાનક પરિક્રમા પથ પર ભંડારાઓની તપાસ કરવા નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે કે શું આ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો જ પ્રયાસ છે? કાયમી કચેરી વગરની આ કામગીરી પ્રજા માટે 'હાસ્યાસ્પદ' સાબિત થઈ રહી છે.
વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર આવેલા એકલેરા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામની હાઈસ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી મકાનના અભાવને કારણે આશરે 43 જેટલા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના મકાનમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે યોગ્ય શૈક્ષણિક માળખું ઉપલબ્ધ નથી. પરિણામે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ વિના ગ્રામ પંચાયતના મકાનના માળ પર બેસીને ભણવું પડે છે. આ પરિસ્થિતિ શિક્ષણની ગુણવત્તા પર અસર કરતી હોવા સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, વલસાડ જિલ્લા તથા કપરાડા તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉદાસીનતા કારણે આ સમસ્યા વર્ષોથી યથાવત છે. પૂરતી સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને દૈનિક શિક્ષણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અત્યાર સુધી કોઇ અધિકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ કઇ હાલતમાં અભ્યાસ કરે છે તે જોવા સુદ્ધા આવ્યા નથી. તંત્ર કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો આંદોલન કરશે ગામલોકોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, એકલેરા ગામની હાઈસ્કૂલ માટે તાત્કાલિક નવા મકાનનું નિર્માણ કરવામાં આવે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી ન કરે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણીની આશંકા:ચીખલીમાં પકડાયેલા દારૂમાં વલસાડ પોલીસ કર્મી પર શંકા
નવસારી જિલ્લાના સમરોલી ચીખલીથી સ્થાનિક એલસીબીએ ગત 24 માર્ચે રૂ.2.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો પરંતું આ કાર વલસાડના પોલીસ કોન્સ્ટેબલના નામે રજિસ્ટર્ડ હોવાની આશંકા છે જે અંગે વલસાડ પોલીસ બેડામાં પણ આ ચર્ચા છે.હાલે નવસારી એલસીબીએ ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જો કે રેલો વલસાડ સુધી આવવાની સંભાવના વર્તાઇ રહી છે. નવસારી એલસીબીએ ચીખલીના સમરોલી ઓવર બ્રિજ છેડે નાકાબંધી કરી મુંબઇથી અમદાવાદ જતાં ટ્રેક પરથી એક કારને રોકી તપાસ કરતા અંદરથી 2.94 લાખનો દારૂ મળી આવ્યો હતો.કારમાં બેઠેલા ચાલક સાવન હિરૂભાઇ હળપતી રહે.કોલેજ રોડ,અંબાલાલની વાડી,કિલ્લા પારડીની ધરપકડ કરી હતી. સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે લઇ ગુનો દાખલ કર્યો હતો. દારુનો જથ્થો ભરી આપનાર સોહેલ,રહે,દમણ અને જથ્થો મગાવનાર સુરતના સાગર ઉર્ફ રાજ પાટિલનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ કેસમાં કાર કોના નામે રજિસ્ટર્ડ હતી તે મુદ્દો ચર્ચામાં છે. આ કાર વલસાડના પોલીસ વિભાગના એક કર્મચારીના નામે રજિસ્ટર્ડ હોવાની ભારે ચર્ચા ચાલી હતી.જો આ ચર્ચામાં તથ્ય જણાશે તો જિલ્લા પોલીસ વડા તપાસ હાથ ધરી પગલાં ભરશે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે. હાલે નવસારી એલસીબી આ ઘટના મુદ્દે તપાસ હાથ ધરી છે.આ પોલીસ જવાનને એકાદ વર્ષ અગાઉ વલસાડ હાલર રોડ પર એક બુટલેગરની કારે અડફેટમાં લીધો હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી હતી.
વલસાડ મગોદ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ચિરાગ અમૃતલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ મગોદ ગ્રામપંચાયતનું મકાન નં.587 માજી સરપંચ સંધ્યાબેન દિપેશ પટેલના સસરા ભીખુભાઇ લાલાભાઇ પટેલના નામે ચાલી આવતું હતું. દરમિયાન 2017થી 2023 દરમિયાન સરપંચ તરીકે ફરજ બજાવતા સંધ્યાબેન દિપેશભાઇ કોળી પટેલે આ ઘર સસરાના નામ ઉપરથી પોતાના નામે મગોદ પંચાયતના આકારણી રજિસ્ટરમાં કરી દીધું હતું. 2023-24ની સાલમાં તેના નામે મગોદ ગ્રામપંચાયતને વેરા અને બીજા નાણાં મળ્યાની પહોંચ રસીદ બનાવી તેના પર મગોદ પંચાયતનો સિક્કો મારી તેની ઉપર અંગ્રેજીમાં કિરણ નામથી સહિ કરી હતી. તેમજ વસુલ લેનાર અગર તલાટીની સહી અંગ્રેજીમાં કરી રૂ.580ની વેરા રસીદ બનાવી હતી. આ ઘર નં.587ની ચતુર્થ દિશા અંગેનું પ્રમાણપત્ર તેમજ પંચાયતનું લેણું બાકી નથીનો દાખલો,રહેણાંકનો દાખલો તથા ગ્રામપંચાયતનો દાખલો 12 ડિસેમ્બર 2023ના રોજ તલાટી કમ મંત્રી મગોદ પંચાયતનો ગુજરાતીમાં સિક્કો મારી તેની પર અંગ્રેજીમાં સહિ કરી તમામ ખોટા ડોક્યુમેન્ટ માજી સરપંચ સંધ્યાબેન દિપેશભાઇ પટેલ અને તેના પતિ દિપેશ ભીખુભાઇ પટેલનાઓ મળી બનાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ તેમણે યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક વાપી બ્રાન્ચ ખાતેથી ઘર નં.587 ગીરવે મૂકી મોર્ગેજ કર્યું હતું. મોર્ગેજ ડીડી તૈયાર કરી રૂ. 10.62 લાખની લોન લીધી હતી.માજી સરપંચ કિરણભાઇ અશોકભાઇ હળપતિએ 7 જાન્યુઆરી 2026ના રોજ ટીડીઓને ફરિયાદ કરી હતી. જેની તપાસ બાદ ટીડીઓ બંન્ને આરોપીઓ મળી પંચાયતના અને તલાટી કમ મંત્રીના ખોટા સહિ સિક્કા કરી બોગસ દસ્તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગ કરી બેંકને ગેરમાર્ગે દોરી લોન લેવાનું ફલિત થતાં બંને સામે ગુનો નોંધાયો છે.
રક્તદાન શિબિર યોજાઈ:બિનવાડા ગામે રામનવમીએ બ્લડ કેમ્પમાં 82 યુનિટ રક્ત એકત્ર કરાયું
વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર પર્વે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ શ્રી રામજી મંદિર યુવક મંડળ, શ્રી રામ સેવાભાવી મંડળ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. શિબિરમાં ગામના 82 પ્રેરણાદાયી રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને 82 યુનિટ રક્તનું દાન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રભાકરભાઈ યાદવ, વલસાડ તાલુકા સંગઠન પ્રમુખ તેજસભાઈ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ રિશિરાજસિંહ ઠાકોર તેમજ જિલ્લા યુવા મોરચાના મંત્રી દિવ્યેશભાઈ, યોગીભાઈ, વિપુલભાઈ, ગણપતભાઈ અને સતીશભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઐતહાસિક શોધ:સુરંગીમાં પ્રાચીન શિવ લિંગ મળ્યાની વાયકા
દાનહના સુરંગી પંચાયતના દસ્તુરીપાડા ગામમાં એક પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. આજ સ્થાન પર શિવલિંગ સાથે અંદાજિત 150 વર્ષ જૂના સિક્કાઓ પણ મળી આવ્યા છે.જે આ ઐતિહાસિક શોધ પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરંગી પંચાયતના સરપંચ સંજય રાઉત અને સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર જમીનમાંથી શિવલિંગ મળ્યા બાદ લોકોએ ત્યાં પૂજા અર્ચના શરૂ કરી દીધી છે. લોકોનું માનવું છે કે, અહીં દેવોના દેવ મહાદેવનો પૂર્વ યુગમાં વાસ રહ્યો હશે. કારણ કે આ નાના અમથા સ્થાન પર પ્રવેશ કર્યા બાદ કંઈક અલગ જ ઉર્જા મહેસૂસ થાય છે. હાલમાં તો સરપંચ સંજય રાઉત ગ્રામવાસીઓના સહયોગથી આ વિસ્તારને ડેવલોપ કરી રહ્યા છે. પ્રશાસનને પણ અનુરોધ કર્યો છે કે, આ મંદિર અંગે દરેક પ્રદેશવાસીઓને જાણકારી મળે અને આ વિસ્તારના વિકાસ તરફ ધ્યાન આપે તેવા પ્રયાસ થાય તે જરૂરી છે. દાનહના સુરંગી પંચાયત વિસ્તારમાં મળેલ આ પ્રાચીન સ્વયભૂ શિવલિંગ નિશ્ચિત રૂપે એક ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ નુ સ્થળ બની શકે છે.
ચીખલી તાલુકામાં મનરેગા યોજનાના 3987 જેટલા શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી 78.07 લાખ રૂપિયાનું પેમેન્ટ ન ચૂકવાતા તંત્રના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આ યોજનાનું વિકસિત ભારત જી રામ જી નવું નામકરણ કરાયું છે પરંતુ ત્રણ માસથી શ્રમિકોના લાખો રૂપિયા અને કર્મચારીઓના પગાર ન ચૂકવાતા તેઓની આર્થિક હાલત કફોડી બની છે. સરકાર દ્વારા હવે આ યોજનાનું વિકસિત ભારત ગેરેન્ટી ફોર એન્ડ આજીવિકા મિશન જી રામ જી નામકરણ કરાયું છે. તાલુકામાં મનરેગા યોજનાના જોબકાર્ડ ધારક શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી પેમેન્ટ ન ચૂકવવામાં આવતા તંત્રનો અંધેર કારભાર બહાર આવ્યો છે. મનરેગા યોજના અંતર્ગત ગામમાં સાફસફાઈ, આંબા કલમ રોપવાની મંજૂરી, આવાસના બાંધકામમાં મંજૂરી સહિતના કરેલા કામોની રકમ છેલ્લા ત્રણ માસથી શ્રમિકોને ચૂકવવામાં આવી નથી. તાલુકામાં 3987 જેટલા શ્રમિકોની રૂ. 78,07,165નું પેમેન્ટ તંત્ર દ્વારા ન ચૂકવવામાં આવતા તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તંત્ર દ્વારા મનરેગા યોજનામાં શ્રમિકોને પેમેન્ટ નથી ચૂકવાયું તો બીજી તરફ કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર પણ ચૂકવાયો નથી અને કેટલાક કર્મચારીઓનો પગાર તો ત્રણ મહિના કરતા વધુ સમયથી બાકી હોવાનું જાણવા મળ્યું છે. આમ રોજગારની ગેરેન્ટી આપતી યોજનામાં શ્રમિકોને રોજગારીની ગેરેન્ટીના ધજાગરા ઉડી ગયા છે ત્યારે ખરેખર સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે કે પછી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો અણઘડ કારભારનું આ પરિણામ છે તે પણ તપાસનો વિષય છે. પાંચ વર્ષ થવા છતાં તાલુકામાં એકપણ કેટલ શેડની મંજૂરી અપાઇ નથી ચીખલી તાલુકામાં મનરેગા યોજનામાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી કેટલ શેડ,મેટલ રોડના કામો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પોતાની મનમાની કરી આપવામાં આવ્યા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અવાર નવારની રજૂઆત બાદ પણ એકપણ કેટલ શેડની મંજૂરી અપાઇ નથી. તાલુકામાં પશુપાલનનો વ્યવસાય મોટાપાયે વિકસિત થવા સાથે અનેક પરિવારો ઘરઆંગણે આવક મેળવી રહ્યાં છે ત્યારે કેટલ શેડની માંગ પણ તાલુકામાં મોટાપાયે રહેતી હોય છે. પરંતુ તંત્રની બેધારી નિતીને કારણે આ લાભ પશુપાલકોને હજી સુધી મળ્યો નથી. સાતેક માસથી માલસામાનનું પણ પેમેન્ટ ચૂકવાયુ નથી ! ચીખલી તાલુકામાં મનરેગા યોજના અંતર્ગતના પંચાયત ઘરો, આંગણવાડીના કામો પણ ઘણા સમયથી અધૂરા છે. તેના પરથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો વહીવટી કુશળતા સામે સવાલો ઉભા થયા છે. આ યોજનામાં છેલ્લા સાતેક માસથી માલ સામાનનું પણ પેમેન્ટ ન આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. તંત્રના અણઘડ કારભારમાં લોકોની પાયાની સુવિધાના કામો પણ લાંબો સમય વીતવા છતાં પુરા થયા નથી.
અકસ્માત સર્જાયો:ખારેલ ઇન્ટરચેઈન્જ એક્સપ્રેસ હાઇવેના સર્કલ પર કન્ટેનર પલટ્યું
24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા એક્સપ્રેસ હાઇવેના ખારેલ ઇન્ટરચેઈજના સર્કલ પાસે કન્ટેનર પલટી જતા અકસ્માત નોંધાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. એક્સપ્રેસ હાઇવેના ખારેલ ઇન્ટરચેઈજ સર્કલ પાસે એક મોટું કન્ટેનર અમદાવાદથી મુંબઈ તરફ જતું હતું. આ કન્ટેનર એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળી ખારેલ ઇન્ટરચેઈન્જ પાસે સર્કલ પર ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયું હતું. કન્ટેનર પલ્ટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઇ ન હતી. આ અકસ્માત બાદ એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળવાના માર્ગ અને હાઇવે પર જનાર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેને અંકુશમાં લેવા પોલીસે જહેમત ઉઠાવવી પડી હતી. સામાન્ય રીતે કહેવાય છે કે એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળતા વાહન ચાલકો ભારે ગતિથી બહાર નીકળી ને.હા.નં. 48 પર જાય છે, જેને લઈને સતત અકસ્માતનો ભય રહે છે. આ સર્કલથી ખારેલ ચોકડી સુધી બમ્પ હોય તો જ આવા વાહનોની ગતિ ઉપર અંકુશ આવે, જેથી બમ્પ મુકવા લોકમાગ ઉઠી છે.
નવસારી શહેરના જલાલપોર રોડ પર આવેલી વ્રજભૂમિ એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા 10 દિવસથી ગટરના ઉભરાતા પાણી અને અસહ્ય દુર્ગંધને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. જલાલપોર રોડ પર મિશન હોસ્પિટલની સામે અને બીએપીએસ મંદિર નજીક આવેલા આ રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોક-અપ થઈ ગઈ છે. છેલ્લા દોઢ અઠવાડિયાથી ગટરના ગંદા પાણી ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું વ્રજભૂમિ એપાર્ટ.ના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પરિવારો માટે તો ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી સફાઈ કામગીરી હાથ ધરે અને અમને આ નર્કાગારમાંથી મુક્તિ અપાવે.> સંતોષભાઈ, સ્થાનિક
ઇમાનદારીના દર્શન થયા:ઉન સાંઇબાબા મંદિરમાં મળેલી 15,700ની રોકડ સુરતના યુવાને વૃદ્ધાને પરત કરી
કહેવાય છે કે આજના સમયમાં માનવતા હજુ જીવંત છે, જેનો જીવંત પુરાવો નવસારીમાં જોવા મળ્યો છે. ઈમાનદારી અને ખુદ્દારીના પર્યાય સમાન જયેશભાઈ ઉમરેકર (કંટાળી) એ પોતાની પ્રામાણિકતા દર્શાવીને એક વૃદ્ધ દાદીના ખોવાયેલા નાણાં પરત અપાવી નવસારીનું ગૌરવ વધાર્યું છે. ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે સુરતના જયેશભાઈ ઉમરેકર નવસારી સ્થિત ઉન સાઈબાબા મંદિરમાં દર્શન માટે ગયા હતા. દર્શન દરમિયાન તેમને મંદિર પરિસરમાંથી બિનવારસી હાલતમાં રૂ. 15700ની રોકડ રકમ મળી આવી હતી. જયેશભાઈએ સહેજ પણ લાલચ રાખ્યા વગર તુરંત જ આ રકમ મંદિરના ટ્રસ્ટીઓને સોંપી દીધી હતી. મંદિર પ્રશાસન દ્વારા તાત્કાલિક લાઉડસ્પીકર પર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સાંભળી દર્શનાર્થે આવેલા રાધામાધવ સોસાયટીના રહેવાસી લલિતાબેન સુરેશભાઈ પટેલ ટ્રસ્ટી પાસે પહોંચ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે આ રકમ દાદીમાની જ હતી જે દર્શન દરમિયાન પડી ગઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં જયેશભાઈએ આ રકમ લલિતાબેનને સુપ્રત કરી હતી. ખોવાયેલા નાણાં પરત મળતા દાદીમા ગદગદિત થઈ ગયા હતા અને જયેશભાઈને અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટે પણ જયેશભાઈની ઈમાનદારીને બિરદાવી હતી.
બદલી:નવસારીમાં 10 PSIને PI તરીકે બઢતી સાથે 18 પીઆઇની બદલી
નવસારીમાં પણ ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇથી પીઆઇ તરીકે 10 ને બઢતી અને 8 પીઆઇને અન્ય જિલ્લાના બદલી બઢતી તરીકે 18 જેટલા પીઆઈ બદલાઈ ગયા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પીઆઇની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસવડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં પીએસઆઇથી પીઆઇના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા હતા. જેમાં નવસારી જિલ્લામાં ટ્રાફિક પીઆઈ પરાગ ડાવરાને બોટાદ, ડી.એમ રાઠોડને બનાસકાંઠા, આર.એસ. ગોહિલને વડોદરા શહેર, પી.વાય ચિત્તેને સુરત ગ્રામ્ય, સી.કે.કાતરિયાને પોરબંદર, એમ.એમ. મૌર્યને નર્મદા, એચ.આર બારોટને કચ્છ, એમ.ડી. ગામીતને તાપી, એસ.વી. આહિર અને જે.વી.ચાવડાને સીઆઇડી ક્રાઇમમાં પીઆઈ તરીકે બઢતી સાથે બદલી આપવામાં આવી હતી. એક જ સ્થળે 3 વર્ષ પૂર્ણ કરનાર નવસારીના 8 પીઆઇની ટ્રાન્સફરજિલ્લામાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ પોલીસ સ્ટેશન અને શહેર- જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરી દેવાઈ છે. જેમાં જલાલપોરના પીઆઇ ડી.ડી લાડુમોરને વડોદરા શહેર, ચીખલીના ડી.એસ.કોરાટની સુરત શહેર, કે.એચ.ચૌધરીને વડોદરા ગ્રામ્ય, કે.જે ચૌધરીને ભરૂચ, એમ.આર ચાવડાને વડોદરા શહેર, એન.એમ.આહિરને વડોદરા ગ્રામ્ય, ડી.જે.પટેલને વડોદરા ગ્રામ્ય, ટી.એ.ગઢવીની સુરત શહેરમાં બદલી કરાઇ હતી.
નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને સક્રિય બન્યા છે. ભાજપે સંગઠનાત્મક મજબૂતી અને વ્યૂહાત્મક આયોજન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા નવસારી મહાપાલિકાના તમામ વોર્ડ અને જિલ્લા પંચાયતની 30 બેઠકો પર વિસ્તારવાર બેઠકો યોજાઇ રહી છે. આ બેઠકોમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજી, સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસનભાઈ ટીલવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ બેઠકો દરમિયાન ખાસ કરીને માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં બૂથવાર મતદારોની વિગતો, નવી મતદાર નોંધણી, મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટેના કાર્યક્રમો અને ઘર-ઘર સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાને લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, દરેક બૂથ પર મજબૂત ટીમ ઊભી કરવા, પેજ પ્રમુખ વ્યવસ્થાને સક્રિય બનાવવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા સહિતની બાબતે પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
આજે થિયેટર દિવસ:મૂળતઃ નવસારીના અનેક કલાકારો મુંબઈના થિયેટર ો ગજવી રહ્યા છે
27 માર્ચના દિવસને વિશ્વ થિયેટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવસારી શહેર રાજ્યના અન્ય શહેરોની તુલનામાં નાનું હોવા છતાં થિયેટર અહીંનું સમૃદ્ધ રહ્યું છે. અહીંના શાહરૂખ સદરીએ અનેક નાટકો અને સિરિયલ સાથે મુંબઈની ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા સમય અગાઉ જ જેનું નિધન થયું એ અઝીઝ ખાને અભિનય સાથે દિગ્દર્શન પણ મુંબઈમાં નાટક અને સિરિયલોમાં કર્યું. સુજાતા ઠક્કર નામની કલાકાર પણ નવસારીની છે જે નાટક સાથે અનેક સિરિયલોમાં નામના મેળવી છે. નવસારીના દીપેન પિયુષભાઈ ભટ્ટ એ મુંબઈમાં નાટકો લખ્યા અને લેખક તરીકે નામના મેળવી. શહેરમાં જન્મેલ, અભ્યાસ કરેલ અને નાટક પણ શીખેલ કલાકાર નિમેષ દેસાઈ હાલ મુંબઈની રંગભૂમિનું જાણીતું નામ થઈ ગયું છે. નવસારીનો યુવા કલાકાર, લેખક ચેતન પવાર પણ મુંબઈમાં હવે કાઢું કાઢી રહ્યો છે. વર્ષોથી નવસારીનું થિયેટર જીવંત.. નવસારી શહેરનું થિયેટર આજનું નથી પણ વર્ષોથી ધમધમે છે. કલાકારો, સંચાલકો બદલાઈ રહ્યા છે. એક સમયે ઉદય આર્ટ મોટું નામ હતું તો છેલ્લા કેટલાક વર્ષોથી પિયુષ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જયઘોષ થિયેટર વાહ વાહ મેળવી રહ્યું છે. 90 વર્ષીય શાંતિલાલ પરમારનું પણ વર્ષોથી મોટું નામ છે. જસપાલ દેસાઈ, ઝફર કાદરી ભૂતકાળમાં મોટા નામ હતા તો કુરુસ જાગીરદાર, ડો.મૃદુલ વૈદ, શિવાની ચાવાલા વગેરે હવે થિયેટર ગજવે છે.
ભાસ્કર ફોલોઅપ:વેકેશનમાં ‘સરકાર માન્ય'ના નામે કમ્પ્યુટર ક્લાસીસનું ઉઘાડી લૂંટનું નેટવર્ક ફરી સક્રિય
ઉનાળુ વેકેશન શરૂ થતાં જ સ્કીલ ડેવલપમેન્ટના નામે નવસારી સહિત રાજ્યભરમાં ખાનગી કમ્પ્યુટર ક્લાસીસ દ્વારા વાલીઓને લૂંટવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અનેક સંચાલકો માત્ર ટ્રસ્ટ કે NGOની નોંધણી કરાવી પોતાની સંસ્થા ગુજરાત કે ભારત સરકાર માન્ય' હોવાનો ખોટો દાવો કરી રહ્યા છે. આ જાળમાં ફસાઈને વાલીઓ ઊંચી ફી ભરી રહ્યા છે, પરંતુ અંતે મળતા સર્ટિફિકેટ્સની સરકારી ભરતી કે ઉચ્ચ અભ્યાસમાં કોઈ કાયદેસરની માન્યતા હોતી નથી. નવસારી શહેરમાં ચાલતા કમ્પ્યુટર ક્લાસની ખરાઇ શિક્ષણ વિભાગ કરે તેવી લોકમાગ છે. ફ્રેન્ચાઇઝી મોડલથી નેટવર્ક ચલાવાય છે બરોડા અને ઉત્તર ગુજરાતના કેટલાક તત્વો દ્વારા ફ્રેન્ચાઇઝી મોડેલથી આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થાઓ સરકારી પ્રતીકો કે શબ્દોનો દુરુપયોગ કરી ભ્રામક આભાસ ઉભો કરે છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. જો શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર વહેલી તકે આ લેભાગુ તત્વો સામે તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે, તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વાલીઓની પરસેવાની કમાણી જોખમમાં મુકાશે.> મહેશભાઇ, સંચાલક, કમ્પ્યૂટર ક્લાસ
મહામૂલા પાણીનો થયો વેડફાટ:જલાલપોરમાં મીઠાકૂવા પાસે પીવાના પાણીનો થતો વેડફાટ
નવસારી મહાનગરપાલિકાના જલાલપોર વિસ્તારમાં આવેલ મીઠાકૂવા પાસે છેલ્લા એક મહિનાથી મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું નીચે બેસી ગયું છે. આ વ્યસ્ત માર્ગ પર ગમે ત્યારે મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અંતે સ્થાનિક યુવાનોએ સ્વખર્ચે બેરીકેટ લગાવીને વાહનચાલકોને ચેતવવાની ફરજ પડી છે. માત્ર રોડની જ સમસ્યા નથી પરંતુ છેલ્લા 15 દિવસથી આ જ સ્થળે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું લીકેજ જોવા મળી રહ્યું છે. જેના કારણે દરરોજ હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાની ઓફિશિયલ એપ પર અનેકવાર ફરિયાદો નોંધાવવામાં આવી છે, તેમ છતાં તંત્રના કાને આ વાત અથડાઈ નથી. સ્માર્ટ સિટી અને જળ બચાવોના નારા લગાવતું તંત્ર પ્રત્યક્ષ કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે. મનપા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છેઅમે છેલ્લા ઘણા સમયથી મનપાની એપ પર ઓનલાઇન ફરિયાદ કરી રહ્યા છીએ, પરંતુ તંત્ર માત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એક તરફ પાણીનું લીકેજ છે અને બીજી તરફ બેસી ગયેલું જોખમી ઢાંકણું. કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની ? તંત્ર વહેલી તકે જાગે અને આ કામગીરી પૂર્ણ કરે તેવી અમારી માંગ છે. > વિજયભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ વર્ષોથી અપાતી પરંપરાગત સુખડીને હવે બંધ કરવામાં આવશે અને તેના સ્થાને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે શ્રી અન્ન (મિલેટ) સુખડી આપવાની શરૂઆત કરવામાં આવશે. આ ફેરફાર મુખ્યત્વે ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને વેગ આપવા અને બાળકોમાં નાનપણથી જ સ્વસ્થ જીવનશૈલી કેળવવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે, જેનાથી દેશી અનાજને પણ પ્રોત્સાહન મળશે. આ નિર્ણય માત્ર સુખડી પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુખ્યમંત્રી અલ્પાહાર (નાસ્તો) યોજનાના મેનુમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ શારીરિક વિકાસ માટે જરૂરી સંતુલિત આહાર પૂરો પાડવામાં આવશે. નવીન વાનગીઓના સમાવેશથી બાળકોના કુપોષણના સ્તરમાં ઘટાડો થશે અને તેમને અભ્યાસ માટે જરૂરી ઊર્જા મળી રહેશે. સરકારના આ અભિગમને આરોગ્ય અને પોષણના દૃષ્ટિકોણથી અત્યંત પ્રગતિશીલ માનવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લામાં હાલમાં કુલ 71, 100 માંથી 49 હજાર બાળકો મધ્યાહન ભોજનનો લાભ લઇ રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી નવસારીના સાંસદ સી.આર.પાટીલે પણ ખાસ કાર્યમાં નવસારીને કુપોષણમુક્ત બનાવવા નિર્ધાર કર્યો છે. જેને લઇને મધ્યાહન ભોજનની સાથે સુખડી આપવાની શરૂઆત કરી હતી. જેને લઇને જિલ્લામાં કુપોષણના દરમાં મહત્વનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છેકે, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કેન્દ્રીકૃત રસોડામાં 30 નવેમ્બર 2024ના ઠરાવ મુજબના વર્તમાન મેનુનો અમલ ચાલુ રાખવાનો રહેશે. આ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે વાનગીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે રેસીપી બુક તથા વીડિયો ક્લિપ્સ પૂરી પાડવામાં આવશે, જેનું પાલન કરવું અનિવાર્ય છે. વધુમાં, નવીન સંભવિત મેનુના અમલીકરણના એક મહિના બાદ તેના સ્થાનિક સ્વીકાર અને સરળતા અંગે ખાસ ટીમ સાથે મળીને સર્વેક્ષણ કરવામાં આવશે, જ્યારે 30 નવેમ્બર 2024ના ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે. જુનુ મેનુ બદલાતા નવુ મેનુમાં આ રહેશે વાનગીમધ્યાહન ભોજનમાં પહેલા સોમવારે ચણા ચાટ, મંગળવારે પૌવા / હળવા નાસ્તા, બુધવારે મગ/કઠોળ આધારિત નાસ્તો, ગુરુવારે સુખડી (ઘઉં + ગોળ + ઘી), શુક્રવારે ઉપમા / ફાડા ઉપમા અને શનિવારે મિક્સ નાસ્તા (પૌવા / ચાટ પ્રકાર) પિરસવામાં આવતું હતું. જોકે હવે, સોમવારે મગ ચાટ (મગ, ટામેટા, ડુંગળી), મંગળવારે વેજીટેબલ પૌવા (પૌવા, સીંગદાણા, બટેટા, બીટ), બુધવારે મિક્સ કઠોળ ચાટ (ચણા, મગ, મઠ, ચોળા), ગુરુવારે શ્રી અન્ન (મિલેટ) સુખડી (મિલેટ લોટ, ગોળ, સીંગદાણા), શુક્રવારે વેજીટેબલ ઉપમા (રવો, સીંગદાણા, મિક્સ શાકભાજી) અને શનિવારે વેજીટેબલ પૌવા (પૌવા, સીંગદાણા, શાકભાજી) આપવામાં આવશે. નિર્ણય યોગ્ય પરંતુ અમલિકરણ પણ જરૂરી નવસારી જિલ્લામાં મહત્તમ બાળકો જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે તે સામાન્ય ગરીબ વર્ગના બાળકો છે તેઓમાંથી મોટેભાગે શાળામાં આવતા મધ્યાહન ભોજનનો જ લાભ મેળવે છે. શિક્ષણની સાથે સાથે અહીં શાળામાં જે સુવિધા મળી રહી છે તે ખૂબ સરાહનીય છે. હવે નવા મેનુ પ્રમાણે વધુ પૌષ્ટિક આહાર બાળકોને મળવા જઇ રહ્યો છે ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય વધુ સારુ રહેશે તેવી શક્યતા છે. સરકારના નિર્ણયને અમે વધાવીએ છે પરંતુ બાળકોને પ્રાધાન્ય આપીને ખોરાક બનાવાય તે ખૂબ જરૂરી છે. જેથી જે કોઇ સંસ્થા આ એમડીએમ સાથે જોડાયેલી હોય તે આ બાબતે ખાસ ધ્યાન રાખે તે ખૂબ અનિવાર્ય છે. >અજુવેન્દ્ર પટેલ, નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ પ્રમુખ.
ઓછી મૂડી અને ઓછી જગ્યામાં કરો ધનના ઢગલાં:ઘેજ ગામની મહિલા મશરૂમની ખેતીથી બની આત્મનિર્ભર
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામના એક સામાન્ય મહિલા સીતાબેન પ્રવીણભાઈ પટેલે આજે આધુનિક ખેતી અને દૃઢ મનોબળના સહારે આત્મનિર્ભર મહિલાશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલા સીતાબેને પરંપરાગત ખેતીના બદલે મશરૂમની ખેતી અપનાવી આજે લાખો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. શરૂઆતમાં સામાન્ય ખેતી પર નિર્ભર સીતાબેન માટે આર્થિક મજબૂતી લાવવી પડકારજનક હતી. ઓછી જમીન અને મર્યાદિત આવક વચ્ચે તેમણે કંઈક નવું કરવાની ખેવના રાખી. આ દરમિયાન તેમને મશરૂમની ખેતી વિશે જાણકારી મળી. ઓછી જગ્યા, ઓછી મૂડી અને ઓછા સમયમાં વધુ વળતર આપતી આ ખેતી સીતાબેનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. સીતાબેનની આ સફરમાં રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ છે. નાયબ બાગાયત નિયામક કચેરી, નવસારી દ્વારા એમઆઇડીએચ ગાઈડલાઈન મુજબ તેમને મશરૂમ ઉત્પાદન યુનિટ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, મશરૂમના બીજ બનાવવા માટેના યુનિટ પ્રોજેક્ટમાં પણ સહાય મળતા તેઓ હવે માત્ર ખેડૂત જ નહીં, પરંતુ એક નાના ઉદ્યોગસાહસિક તરીકે પણ પ્રસ્થાપિત થયા છે. સીતાબેનની આ સફળતા માત્ર તેમના પરિવાર પૂરતી મર્યાદિત નથી. તેમનાથી પ્રેરાઈને ગાયત્રી સખી મંડળની અન્ય બહેનો પણ મશરૂમ ખેતી તરફ વળી રહી છે. ગામમાં સ્વરોજગારીના નવા દ્વાર ખુલતા મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની રહી છે. સીતાબેન હવે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આમ, અડગ મહેનત અને સરકારના યોગ્ય પ્રોત્સાહનથી નવસારીની આ નારી શક્તિએ આત્મનિર્ભર ભારત ના સ્વપ્નને જમીની સ્તરે સાકાર કરી બતાવ્યું છે. નવસારી જિલ્લાની મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી ઘરની જવાબદારીઓની સાથે ખેતી અને અન્ય વેપાર કરીને પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહી છે. જેને લઇને ઘણા પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થયેલો પણ જોવા મળે છે. ટેકનિકલ માર્ગદર્શનથી મળી સફળતાજો મને સરકાર તરફથી આર્થિક સહાય અને બાગાયત વિભાગનું ટેકનિકલ માર્ગદર્શન ન મળ્યું હોત, તો આજે હું આ મુકામ પર ન પહોંચી શકી હોત. યોગ્ય તાપમાન, ભેજ અને પેકેજિંગની સમજ મેળવીને આજે હું ગુણવત્તાસભર ઉત્પાદન કરી રહી છું.> સીતાબેન પટેલ, મશરૂમ ઉત્પાદક
ભયાનક ટ્રક અકસ્માત:દેરોલ પાસે ઇમરજન્સી લેનમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘૂસતાં કલીનરનું મોત
ભરૂચ નજીક દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ ગામ પાસે બુધવારે વહેલી સવારના સમયે ભયાનક ટ્રક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ક્લિનરનું મોત નિપજ્યું છે. એક ટ્રકના ડ્રાઈવર રણજીતકુમાર પાસવાન (રહે. ઉત્તર પ્રદેશ )દહેજથી પીવીસી પાઉડર ભરેલી ટ્રક લઈને મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા હતા. તે વેળા ટ્રકના એન્જિનમાં ખામી જણાતા તેમણે ટ્રકને હાઈવેની ઈમરજન્સી લેનમાં પાર્ક કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી હતી.આ સમયે પાછળથી આવી રહેલી અન્ય એક ટ્રકના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી ઉભેલી ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા હાઈવે હેલ્પલાઈન 1033 મારફતે એમ્બ્યુલન્સ પહોંચી અને બંનેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન ક્લિનરનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અથડાનાર ટ્રકના ડ્રાઈવરને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેની સારવાર અત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ચાલી રહી છે.આ અકસ્માત દેરોલ ગામની સીમમાં થયો હોવાથી નબીપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
કોપર કેબલ વાયરની ચોરીનો મામલો:સદાથાલા ગામે સોલાર પ્લાન્ટમાં તાંબાના વાયરોની ઉઠાંતરી કરી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સદથલા ગામ નજીક આવેલા કે.પી. ગ્રીન એનર્જી કંપનીના સોલાર પ્લાન્ટમાં તસ્કરો તાંબાના વાયરોની ચોરી કરીને ફરાર થઇ ગયાં છે. 23મીની સાંજથી 24 માર્ચની વહેલી સવારે વચ્ચે કોઈપણ સમયે બે ઈસમોએ પ્લાન્ટમાં પ્રવેશ કરી આશરે 670 મીટર કોપર કેબલ વાયર ચોરી કરીને ભાગ્યાં હતાં. સોલર પ્લાન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર વિવેક પંચાલના જણાવ્યાં અનુસાર રાત્રે લગભગ 2 વાગ્યે સિક્યુરિટી સુપરવાઈઝર સંજય પટેલે ફોન કરી બનાવની જાણ કરી હતી. સિક્યુરિટી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાવળની ઝાડીમાં ધુમાડો દેખાતા તપાસ કરવા ગયા હતા, જ્યાં બે શખ્સો કેબલ સળગાવી તેની ઉપરનું કવર ઉતારી રહ્યા હતા. સ્ટાફને જોઈ તેઓ પોતાની બાઈક સ્થળ પર મુકી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી બાઈક કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
વૈશ્વિક કટોકટીની લોકલ અસર:મિડલ ઈસ્ટના યુદ્ધની અસર અંકલેશ્વરના ભંડારા પર
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ગેસ સપ્લાય ખોરવાઈ જતાં તેની સીધી અસર રામનવમી નિમિત્તે યોજાયેલા ભંડારા પર જોવા મળી હતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને કારણે ગેસ સિલિન્ડરની અછત સર્જાતા, આયોજકોને પરંપરાગત ચૂલા પર મહાપ્રસાદ રાંધવાની ફરજ પડી હતી. આમ, વૈશ્વિક કટોકટીની અસર હવે સ્થાનિક સ્તરે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પણ વર્તાઈ રહી છે. હાંસોટ પંથકમાં રામનવમીના ભંડારા માટે સમયસર ગેસ સિલિન્ડર ન મળતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા. વિકલ્પ તરીકે, જમીનમાં ચૂલા ખોદીને લાકડાના ઉપયોગથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી. હાલમાં અંદાજે ₹140 પ્રતિ મણ (20 કિલો)ના ભાવે લાકડા ખરીદવા પડતા રસોઈના ખર્ચમાં પણ વધારો થયો છે. આ પરંપરાગત પદ્ધતિને કારણે રસોઈ બનાવવામાં વધુ સમય અને મહેનત લાગી હતી, તેમ છતાં ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આયોજકોએ કોઈ કમી રાખી ન હતી. આ પરિસ્થિતિની અસર અંકલેશ્વરમાં પણ જોવા મળી હતી. અંકલેશ્વર હસ્તી તળાવ સ્થિત મામાદેવના મંદિર ખાતે યોજાયેલા ભંડારામાં પણ ગેસના અભાવે લાકડાના ચૂલા પર જ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. હજારો ભક્તો માટેની આ મહાપ્રસાદી બનાવવા માટે ₹140ના ભાવે(1 મણ) લાકડા લાવીને રસોઈકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
દૂધરેજ ખોડુ વેળાવદર રોડના કામનું ખાતમુહૂર્ત:30.54 કરોડના ખર્ચે 22 કિમી રસ્તો રસ્તો બનશે
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોને જોડતા પરિવહન માર્ગોને આધુનિક બનાવવાના અભિગમ સાથે આજે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડકના હસ્તે દૂધરેજ- ખોડુ-વેળાવદર રોડના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 30.54 કરોડના ખર્ચે આ રસ્તો બનશે. દૂધરેજ-ખોડુ-વેળાવદર રોડના સ્ટ્રેટનિંગ અને વાઈડનિંગના કામનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને ભૂમિપૂજન દ્વારા વિધિવત પ્રારંભ કરાવી રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તા સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. આશરે 22 કિમી લંબાઈ ધરાવતો આ માર્ગ નિર્માણ થશે. નવિનીકરણની સાથે રસ્તા પરના જૂના અને નુકસાન પામેલા સ્ટ્રક્ચરોનું નવનિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા - તાલુકાના હોદ્દેદારઓ, આગેવાનઓ, અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતા અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના ઘર સસ્તામાં વેચી દેવા અથવા તાળા મારી અન્ય વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા હોવાનો ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે દાવો કર્યો છે. વિધાનસભામાં અશાંતધારા વિધેયકની ચર્ચા દરમિયાન પણ સંગીતા પાટીલ દ્વારા પોતાના વિસ્તારના આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સંગીતા પાટીલે કહ્યું હતું કે, લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે કે, જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે. ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારનો પણ પરેશાન કરાતા હોવાની ફરિયાદ કરી છે. હજારો તેલુગુ પરિવાર પોતાના ઘર છોડવા મજબૂર બન્યા- સંગીતા પાટીલલિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ-બહેનોની વ્યથા રજૂ કરતા ધારાસભ્યએ કહ્યું કે, અગાઉ અહીં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવારો ખૂબ જ શાંતિથી વસવાટ કરતા હતા. પરંતુ, સમય જતાં અમુક અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ પરિવારો હવે ત્યાંથી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે. તેમને સતત એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તેઓ પોતાની મિલકતો ઓછી કિંમતે વેચી દે અથવા ઘર છોડીને ભાડે રહેવા ચાલ્યા જાય, જે ચિંતાજનક છે. શાકાહારી લોકોના ઘર નજીક માંસના ટુકડા ફેંકી પરેશાન કરવામાં આવેસંગીતા પાટીલે ખોરાકની આદતો દ્વારા આપવામાં આવતા ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, જ્યારે તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે. આ લોકો માંસાહાર કર્યા પછી તેના અવશેષો અને ગંદકી જાણીજોઈને હિન્દુઓના ઘરની આજુબાજુ ફેંકી દે છે. આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમને આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસમાં પણ વિવાદસરકારી આવાસ યોજનાઓ, જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જ્યારે ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવે છે. અહીં રહેતા હિન્દુ પરિવાર પણ પોતાના આવાસ છોડીને જતા રહે તે હદે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. અસામાજિક તત્વોની મિલકત હડપવાની વ્યવસ્થિત વ્યૂહરચનાધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લિંબાયતમાં કેટલાક અસામાજિક તત્વો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય હિન્દુઓની મિલકતો પડાવી લેવાનું છે. પહેલા તેઓ એક ઘર ખરીદે છે, પછી તેની પર ગેરકાયદેસર રીતે ચાર-પાંચ માળનું બાંધકામ કરે છે અને ત્યારબાદ આજુબાજુના હિન્દુઓને હેરાન કરીને તેમના મકાનો પણ લઈ લે છે. આ રીતે તેઓ આખું નગર વસાવવાનો પ્રયાસ કરે છે. લિંબાયતની અનેક સોસાયટીઓમાં હિન્દુઓ નામશેષ થયાચર્ચા દરમિયાન સંગીતા પાટીલે પ્રભાવિત સોસાયટીઓના નામ પણ ગણાવ્યા હતા. તેમણે મારુતિનગર, પદ્માવતી નગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી, અંબિકા નગર અને અંબા નગર જેવી અનેક સોસાયટીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સોસાયટીઓમાં એક સમયે હિન્દુઓની બહુમતી હતી, પરંતુ આજે ત્યાં હિન્દુઓ નામશેષ થઈ ગયા છે. માત્ર એક-બે પરિવારો જ માંડ બચ્યા છે, જેઓ પણ અત્યંત ભય અને ત્રાસના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે અથવા ઘરને તાળાં મારીને પલાયન કરી ગયા છે. માનસિક ત્રાસ અને મિલકત વેચવાની મજબૂરીજે વિસ્તારોમાં માત્ર એક-બે હિન્દુ પરિવારો બચ્યા છે, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મિલકત વેચવા મજબૂર કરવામાં આવે છે. સંગીતા પાટીલે જણાવ્યું કે આ પરિવારો પોતાની સુરક્ષા માટે મિલકતો વેચીને અન્યત્ર રહેવા માંગે છે, પરંતુ અશાંતધારાને કારણે ક્યારેક વેચાણની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડે છે. તેમણે રજૂઆત કરી કે આવા કિસ્સાઓમાં હિન્દુ પરિવારોને મિલકત વેચવાની પરવાનગી જલ્દી મળવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત સ્થાને પોતાનું નવું ઘર વસાવી શકે. અશાંતધારા હેઠળ ‘હિન્દુ ટુ હિન્દુ’ મિલકત ટ્રાન્સફરની માંગસંગીતા પાટીલે અશાંતધારાના કાયદામાં સ્પષ્ટતાની માંગ કરતા કહ્યું કે, જો કોઈ હિન્દુ પોતાની મિલકત બીજા હિન્દુને વેચવા માંગતો હોય, તો તેને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ. જોકે, હિન્દુની મિલકત અન્ય ધર્મના લોકોને વેચવાના કિસ્સામાં કડક નિયંત્રણો હોવા જોઈએ. આ રજૂઆત પાછળનો તેમનો તર્ક એ હતો કે હિન્દુ વસ્તી જળવાઈ રહે અને વસ્તીનું સંતુલન બગડે નહીં, જે લિંબાયતના સામાજિક માળખા માટે જરૂરી છે. SITની રચના અને કલેક્ટરની મંજૂરીની અનિવાર્યતાનવા સુધારા બિલ મુજબ, હવે અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર માટે SIT (Special Investigation Team) ની તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈપણ ફાઈલ પાસ ન થવી જોઈએ. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે મિલકતો પચાવી પાડતા તત્વો પર લગામ લાગશે. તપાસ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે મિલકતનું વેચાણ કોઈ દબાણ કે ત્રાસ હેઠળ તો નથી થઈ રહ્યું ને? મતવિસ્તારની જનતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસધારાસભ્યએ જણાવ્યું કે લિંબાયતની જનતાએ તેમને જે પ્રશ્નો અને ફરિયાદો મોકલી હતી, તેને તેમણે ગૃહમાં રજૂ કરી છે. જનપ્રતિનિધિ તરીકે આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના વિસ્તારના લોકોની સુરક્ષા અને શાંતિ માટે અવાજ ઉઠાવે. હજારો લોકો જે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, તેમની વેદના સરકાર સુધી પહોંચાડવી જરૂરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવા કાયદાથી અસામાજિક તત્વોમાં ફાળ પડશે અને સામાન્ય જનતાને ન્યાય મળશે. ગેરકાયદેસર બાંધકામો અને વસ્તી પરિવર્તનનું ષડયંત્રસંગીતા પાટીલે વધુમાં ઉમેર્યું કે કેટલાક વિસ્તારોમાં જે રીતે વસ્તીનું પરિવર્તન થઈ રહ્યું છે તે આકસ્મિક નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર છે. હિન્દુઓના મકાનો લઈને ત્યાં મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી દેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં અન્ય ધર્મના પરિવારોને વસાવવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે જૂના વતનીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અશાંતધારાનો હેતુ આવા વસ્તી વિષયક ફેરફારોને રોકવાનો જ છે, જેથી સામાજિક સમરસતા જોખમાય નહીં. રાજ્યમાં અશાંતધારાના આ સમાચાર પણ વાંચોઃસુરતમાં MLA અરવિંદ રાણાએ કહ્યું, લોકોને પલાયન કરવા મજબૂર ન કરો, ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવો સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહીશોએ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. આજે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજજો કે 'Something is wrong'. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. ‘દીકરીના મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય’આનંદીબેન પટેલે જણાવ્યું કે, આપણે આપણા દીકરા-દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે, આપણી નજર દીકરા-દીકરી પણ હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે. ‘બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે’આનંદીબેન પટેલે ઉદાહરણ આપતા જણાવ્યું કે, તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામા-કાકા-ભાઈ કે મિત્રોનો ફોન આવે તો એ તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે પણ જે દિવસે ફોન આવે અને એ બાજુના રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરી દે ત્યારે તેના પર શંકા કરજો. અત્યાર સુધી તે બાજુમાં બેસીને વાત કરતી હતી પણ હવે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે જ એટલા માટે ધ્યાન રાખજો કે, એ ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય, કથાઓમાં આવી વાતો ભલે ન થતી હોય પણ મારી કથા તો આજ છે. ‘મારો ચૂંટણી ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી થતો’આનંદીબેન પટેલે ચૂંટણી ખર્ચ વિશે જણાવ્યું કે, ઘણા મને પૂછે છે કે, તમે આટલી વખત ચૂંટણી લડ્યા તો કેટલો ખર્ચ થતો હતો? તો હું કહેતી કે, મારે ગુજરાતમાં ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો, જ્યારે અહિં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીખર્ચનો આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. ચૂંટણીમાં ઓછા ખર્ચનું શું છે રહસ્ય?ચૂંટણીમાં ઓછા ખર્ચનું રહસ્ય જણાવતા કહ્યું કે, રહસ્ય એક જ છે કાર્યકર્તાઓ. તેઓને પ્રેમ કરો, મિલન સમારંભ ગોઠવો, તેઓના ઘરે જાવ, તેઓના પરિવાર વિશે જાણો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું એ જ સાચી પદ્ધતિ છે. માત્ર વોટ લઈને 'રામ-રામ' કરી લેવા તે યોગ્ય નથી. ‘મારો ચૂંટણી ખર્ચ કલેક્ટર માનવા તૈયાર ન હતા’વધુમાં જણાવ્યું કે, મારે કોઈ દિવસ ગામમાં જમાડવાનો કાર્યક્રમ નથી કરવો પડ્યો. ઘાટલોડિયામાં તો આનાથી પણ ઓછો ખર્ચો થતો. કેમા કેટલો ખર્ચો થયો તેનું ફોર્મ ભરતા ત્યારે કલેક્ટર આટલો ઓછો ખર્ચ માનવા તૈયાર ન હતા. તો એ જશ ગામના સરપંચ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતનાને નગરપાલિકાના સદસ્યો તેમજ કઠોર પરિશ્રમ કરવાવારા કાર્યકર્તાઓને જાય છે. સતત 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર બને છે તેનું કારણ એ છે કે તેના મુળમાં સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ છે. આ બધાનો સરવાળો ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત આનંદીબેન પટેલે વૃદ્ધાશ્રમ, વેક્સિનેશન, આરોગ્ય સહિતની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જે તમામ મુદ્દાને આપણે ગ્રાફિક્સ દ્વારા જાણીએ… હવે જોઈએ ભાગવત કથાની કેટલીક તસવીરો……
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને ધાડની ગંભીર ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજકોટથી 'ગંડવા ગેંગ' સાથે સંકળાયેલી એક મહિલા આરોપીને ઝડપી પાડી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. શું હતી સમગ્ર ઘટના?ગત તા. 15 માર્ચ 2026ના રોજ સાંજના સમયે ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક કરી, ઉમા ચાર રસ્તા પાસે આવેલ ડોમિનોઝ પિઝા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સોએ ભેગા મળી ફરિયાદીને ગાળો આપી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 1,75,000 ની કિંમતની સોનાની ચેન અને બે વીંટીઓની લૂંટ ચલાવી હતી. આ અંગે તા. 23 માર્ચ 2026 ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયાઆ ગંભીર ઘટનામાં પાણીગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયા હોવાનું જાણવા મળ્યું જતું. આ સાથે સીસીટીવી અને હોટેલ રજીસ્ટરમાં આરોપીઓએ આપેલા આધાર કાર્ડ અને જન્મના દાખલા તેમજ તેમની ફોર વ્હીલર ગાડીની વિગતો મળી આવી હતી. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડીઆ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતું. અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યાયોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સુરતની તાપી મૈયાના કિનારે અયોધ્યાની સરયૂ આરતી અને કાશીના ઘાટ જેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કર અને 'તાપી નમોસ્તુતે'ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દીપોત્સવમાં સુરત સાચા અર્થમાં આધ્યાત્મિક નગરીમાં પરિવર્તિત થયું હતું. જે પ્રકારે દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાય છે, બિલકુલ તે જ શૈલીમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં લાખો ભક્તોની હાજરીમાં શ્રદ્ધાનો મહાકુંભ ઉમટ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્રણ લાખ દીવડાના પ્રકાશથી ઝળહળી ઉઠી તાપી નદીઆ ઐતિહાસિક દિવસની ઉજવણી માટે તાપી નદીના કિનારે અંદાજે ત્રણ લાખ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય એટલું મનોહર હતું કે જાણે આકાશના તારા ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો ભાસ થતો હતો. અયોધ્યાના દીપોત્સવની યાદ અપાવતા આ કાર્યક્રમે સુરતને ગૌરવ અપાવ્યું છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શહેરીજનોએ એકસાથે દીવડા પ્રગટાવીને રામલલાના જન્મોત્સવને વધાવ્યો હતો, જેના કારણે તાપીના કિનારા પર કેસરીયો પ્રકાશ અને શ્રદ્ધાનો અનોખો સંગમ રચાયો હતો. દીવડાઓ દ્વારા કંડારાઈ રામ મંદિર અને ધનુષબાણની પ્રતિકૃતિઆ દીપોત્સવ માત્ર દીવડાઓ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ કલા અને શ્રદ્ધાનો સુંદર સમન્વય હતો. સ્વયંસેવકો અને ભક્તોએ દીવડાઓની ગોઠવણી દ્વારા તાપી ઘાટ પર ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામની મૂર્તિ અને વિશાળ ધનુષબાણની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ ઉપરાંત સૂર્યદેવની પ્રતિકૃતિ પણ દીવડાઓથી કંડારવામાં આવી હતી, જે ઉભરતા રામ રાજ્યનું પ્રતીક બની હતી. આ આકારોને નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક વ્યક્તિ આ પળને કેમેરામાં કેદ કરી રહી હતી. આકાશમાં આતશબાજી અને ડ્રોન શોના અદભૂત દૃશ્યોરામોત્સવની આ ઉજવણીમાં ટેકનોલોજી અને પરંપરાનો સંગમ જોવા મળ્યો હતો. તાપી નદીની વચ્ચેથી કરવામાં આવેલી ભવ્ય આતશબાજીએ રાત્રિના આકાશને રંગબેરંગી રોશનીથી ભરી દીધું હતું. આ આખા કાર્યક્રમનું ડ્રોન શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરથી લેવાયેલા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ડ્રોન શોટમાં ત્રણ લાખ દીવડાઓ અને આતશબાજીનો નજારો જોઈને એવું લાગતું હતું કે સુરત ખરેખર અયોધ્યા અને કાશીને ટક્કર આપી રહ્યું છે, જે શહેરીજનો માટે ગર્વની ક્ષણ હતી. જહાંગીરપુરાના રામમઢી ઓવારા ખાતે જનમેદની ઉમટીઆ ભવ્ય કાર્યક્રમનું આયોજન જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરની પાછળ આવેલા પ્રસિદ્ધ રામમઢી ઓવારા ખાતે કરવામાં આવ્યું હતું. વહેલી સાંજથી જ અહીં ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સુરતના ખૂણેખૂણેથી લાખો રામભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા. તાપી કિનારે વહેતી પવિત્ર લહેરખીઓ અને ભજન-કીર્તનના નાદ સાથે વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું હતું. સુરતની ભક્તિશક્તિનો પરિચય આપતા આ મેળામાં દરેક વર્ગના લોકો એકઠા થઈને ભગવાન રામની આરાધનામાં લીન થયા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓની હાજરીઆ ધાર્મિક મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત રાજ્યના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી. મહાનુભાવોએ પોતે દીવડા પ્રગટાવીને આરતીમાં ભાગ લીધો હતો અને સુરતની જનતાને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી. સી.આર. પાટીલે આ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સુરત હવે ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. નેતાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને ભક્તોનો ઉત્સાહ બમણો કરી દીધો હતો. ભક્તિપૂર્ણ વાતાવરણમાં સુરતીઓ રામમય બન્યાસમગ્ર રામોત્સવ દરમિયાન તાપી કિનારે ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ હાથમાં દીવડા લઈને રામભક્તિમાં મગ્ન જોવા મળી હતી. આ આયોજન દ્વારા સુરતે સાબિત કર્યું કે, તે માત્ર આર્થિક રાજધાની નથી પરંતુ, સંસ્કાર અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર છે. લોકોએ શિસ્તબદ્ધ રીતે આ દીપોત્સવમાં ભાગ લઈને સુરતની એકતા અને ભક્તિ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હવે આધ્યાત્મિક પર્યટનનું કેન્દ્રઆ પ્રકારના ભવ્ય આયોજનોથી સુરતની ઓળખ હવે બદલાઈ રહી છે. અયોધ્યા અને કાશીની જેમ સુરત પણ હવે ધાર્મિક પર્યટનના નકશા પર ઉભરી રહ્યું છે. તાપી નદીના શુદ્ધિકરણ અને કિનારાના વિકાસ સાથે આવા દીપોત્સવ ભવિષ્યમાં સુરતની પરંપરા બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમની સફળતાએ આગામી વર્ષોમાં વધુ મોટા પાયે ઉજવણી કરવાની આશા જગાડી છે. આમ, રામનવમીનો આ દીપોત્સવ સુરતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને લોકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓમાં આર્થિક તણાવને કારણે આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં કતારગામ વિસ્તારના એક 48 વર્ષીય હીરા વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. ઓફિસમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધીમળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરતના કતારગામ સ્થિત નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ વિછુભાઈ જયાણી (ઉં.વ. 48) રામપુરા મેઇન રોડ પર પોતાની હીરાની ઓફિસ ધરાવતા હતા. મળતી માહિતી મુજબ આજે સવારના સમયે ધર્મેશભાઈએ પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું શરીર ઝેરની અસરમાં આવી ગયું હતું અને ફરજ પરના ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સુસાઇડ નોટમાં ભાવુક અપીલમહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં ધર્મેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા લખ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. મારી જિંદગી માટે હું પોતે જ જવાબદાર છું. મારા ગયા પછી મારા ભાઈઓનો ખ્યાલ રાખજો. આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને જીવન ટૂંકાવ્યુંપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મેશભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. વ્યવસાયમાં ધાર્યું પરિણામ ન મળતા અથવા પૈસાની લેવડદેવડમાં ફસાઈ જવાને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું અનુમાન છે. આ આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરીમહીધરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આર્થિક સંકડામણ સિવાય અન્ય કોઈ દબાણ કે કારણ જવાબદાર છે કે કેમ. અન્ય એક વેપારીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધોમૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં 21 વર્ષીય આશિષ રમેશભાઈ સરવૈયા પરિવાર સાથે રહેતો હતો અને હીરામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. તેમના પિતા ડાયમંડ હોસ્પિટલમાં સફાઈ કામ કરે છે. ગઈકાલે બપોરે આશિષે ઘરે છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશિષએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ અમરોલી જુનો કોસાડ રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મુકેશભાઇ ભીમાભાઇ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરી પત્ની તેમજ બે સંતાનનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે રાત્રે મુકેશભાઈએ ઘરે લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુકેશભાઈએ આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.
US-Iran War Update News : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને પાકિસ્તાન અંગે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે, વાતચીત પ્રક્રિયા દરમિયાન ઈરાને અમેરિકાને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા છે અને આ તમામ જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. તેમણે એવું પણ કહ્યું છે કે, યુદ્ધવિરામમાં પાકિસ્તાની ભૂમિકા પણ હોઈ શકે છે. ઈરાને અમેરિકાને હોર્મુઝમાંથી 10 ટેન્કર પસાર થવા દેવાની ખાતરી આપી : ટ્રમ્પનો દાવો વ્હાઈટ હાઉસમાં ગુરુવારે કેબિનેટની બેઠક બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘ઈરાને હોર્મુઝ જળસંધી હેઠળ અમેરિકાને 10 ઓઈલ ટેન્કર પાર કરાવવાની મંજૂરી આપી હતી.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે સિમાડે આવેલી વાડીના મકાનની બહાર ખુલ્લી ઓસરીમાં રાત્રીના વૃદ્ધ દંપતી ખાટલા ઢાળીને સુતુ હતું તે વેળાએ મોડી રાત્રિના ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધીને ત્રાટકી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી દઈ તેઓએ કાનમાં પહેરેલા સોનાના કાપ આંચકી લૂંટ ચલાવી અધારામાં નાસી છુટયા હતા. બનાવના પગલે ઘોઘા પોલીસે 4 અજણાયા શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે મલાડ વાડી વિસ્તારમાં રહેતા બાલુબેન સાંમતભાઈ દિહોર ઉ.વ 60 એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રિના તેઓ અને તેના પતિ સાંમતભાઈ રવજીભાઈ દિહોરા બન્ને વાળુપાણી કરી વાડીએ મકાનની બહાર ખુલ્લી ઓસરીમાં આજુબાજુમાં ખાટલા રાખી સુતા હતા તે વેળાએ મોડી રાત્રિના દોઢેક વાગ્યાના અરસા દરમિયાન ચાર શખ્સ મોઢે રુમાલ બાંધી તેઓની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી તેનું ગોદડુ ખેંચતા તેઓએ જાગી જઈ દેકારો કરતા એક શખ્સે તેનું મોંઢુ દબાવી દઈ બીજાએ તેના કાનમાં પહેરેલા સોનાના બે કાંપ આંચકી તેનો કાન તોડી નાખી ઈજા કરી સોનાના બે કાપ જે 7.740 ગ્રામ જેની કિ.93,500 ની લૂંટ ચલાવી હતી. તે દરમિયાન તેઓના પતિ જાગી જતા અને દેકારો કરતા ચારેય શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. બનાવના પગલે વૃદ્ધ દંપતીને બે દિકરા, દિયર સહિતનો પરિવાર અને ગ્રામ જનો દોડી આવ્યા હતા. જે ફરિયાદના અનુસંધાને ઘોઘા પોલીસે ચાર અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 309(6), 329(3), મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારી આશાપુરી મંદિરે ચૈત્ર આઠમનો મહાયજ્ઞ:હિન્દુ સંગઠનોએ લીધો પ્લાસ્ટિક મુક્ત ઉત્સવનો સંકલ્પ
નવસારીના પૌરાણિક આશાપુરી માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રીની આઠમ અને રામનવમીનો પવિત્ર સમન્વય થયો હતો. આ અવસરે મંદિરમાં ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ પણ ચલાવવામાં આવ્યું હતું. આ પહેલ ઉત્સવનું વિશેષ આકર્ષણ બની હતી. ગાયકવાડી શાસનકાળના પ્રતીક સમાન આશાપુરી મંદિર સાથે હજારો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો માને છે કે માતાજી સૌની આશા પૂરી કરે છે, તેથી જ આ મંદિર ‘આશાપુરી’ તરીકે પ્રચલિત છે. આઠમ નિમિત્તે સુરત, બીલીમોરા, બારડોલી અને વાપી જેવા શહેરોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મહાયજ્ઞમાં નારિયેળ હોમીને ભક્તોએ વાતાવરણને શુદ્ધ બનાવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદની ‘માતૃશક્તિ’ પાંખ દ્વારા મંદિરમાં આવતા ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ હતી. સેવા આપનાર મહિલા કાર્યકરના જણાવ્યા અનુસાર, અમે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તરફથી અહીં ઉપસ્થિત છીએ. જે ભક્તો પૂજાનો સામાન પ્લાસ્ટિકની થેલીમાં લાવે છે, તેનું અમે કલેક્શન કરી રહ્યા છીએ જેથી મંદિર પરિસર સ્વચ્છ રહે. સાથે જ, હવાનું પ્રદૂષણ રોકવા અને સ્વાસ્થ્યની જાળવણી માટે અગરબત્તીનો વપરાશ ઘટાડવા માટે પણ જનજાગૃતિ ફેલાવી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણને બચાવવાનો છે. આમ, નવસારીના આશાપુરી મંદિરે ભક્તિ અને સામાજિક જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

34 C