SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ-10નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો; નેતાઓ પ્રત્યે ભારે આક્રોશ;બદલાતા સમીકરણો વચ્ચે ખરાખરીનો જંગ

રાજ્યમાં નવનિર્મિત 15 મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે. એપ્રિલ માસના દઝાડતા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8 થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન રાજકીય ચિત્ર જોઈએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા એમ તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન વર્તાય છે. અગાઉની સંયુક્ત પાલિકામાં પણ ભગવો લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે 'આપ' (AAP) પણ મેદાનમાં છે. કપરી સ્થિતિમાં પણ કોંગ્રેસ તેના વફાદાર 37% મતો જાળવી રાખે છે. આ વખતે રાજુભાઈ કરપડાને કારણે 'આપ'નું જોર વધ્યું હતું, જોકે તેઓ હવે ભાજપમાં ભળી ગયા છે. તેમ છતાં, ભાજપે જો વિજય કુચ જાળવી રાખવી હોય તો 'આપ' દ્વારા કપાતા મતોને રોકવા સચોટ વ્યૂહરચના ઘડવી પડશે, અન્યથા બેઠકો ઘટવાની ભીતિ છે. જોકે, વિધાનસભાની જેમ જો 'આપ' કોંગ્રેસના મતોમાં ગાબડું પાડે, તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. નવા યુવા મતદારોને રિઝવવા પર ધ્યાન જિલ્લામાં નોંધાયેલા આંકડાકીય ફેરફારો જોઈએ તો, અગાઉ કુલ 1,366,275 મતદારો હતા. સરકારી કામગીરી બાદ 21,415 મતદારો ઘટ્યા છે, તેની સામે યાદી સુધારણામાં 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપે સત્તા ટકાવી રાખવા માટે આ નવા યુવા મતદારોને રિઝવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વોર્ડ નં. 10 ના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2021 માં અહીં 7,695 પુરુષ અને 7,325 સ્ત્રી મળી કુલ 15,020 મતદારો હતા. મનપા બન્યા બાદ હવે અહીં 8,442 પુરુષ અને 7,914 સ્ત્રી મળી કુલ 16,356 મતદારો છે, એટલે કે 1,336 મતદારોનો વધારો થયો છે. જ્ઞાતિ સમીકરણો મુજબ 21,913 ની વસ્તીમાં SC- 1,490, ST- 15 અને OBC વસ્તી 8,598 છે. બેઠકોની ફાળવણી મુજબ બેઠક-1 અને 2 સ્ત્રી અનામત, બેઠક-3 OBC અને બેઠક-4 સામાન્ય વર્ગ માટે છે. અહીં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરનારા ક્યાં ગયા?' સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, ધારાસભ્ય ધનજીભાઈ સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરતા હતા, પણ હવે દર્શન પણ આપતા નથી. ચૂંટણી ટાણે મીટિંગો કરી જમાડનારા નેતાઓ હવે દેખાતા નથી. પોતાની શેરીઓમાં સુવિધા છે, પણ અહીં 17 નંબરની શેરીમાં કોઈ ડોકાતું નથી. મત લેવા માટે લલચાવનારાઓને આ વખતે જનતા પાઠ ભણાવશે. મહાનગરપાલિકાના દરજ્જા સાથે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. વોર્ડ નં. 10 ના ચતુરભાઈ ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, મનપા બનવાથી ટેક્સમાં વધારો તો નિશ્ચિત છે, તો તેની સામે સગવડતા પણ વધવી જોઈએ. જોકે શહેર થોડું સાફ દેખાવા લાગ્યું છે, પણ નાની સમસ્યાઓ નવી ચૂંટાયેલી પાંખ જલ્દી હલ કરે તેવી આશા છે. તેવી જ રીતે રતનપર શેરીના વિજયભાઈ કોશીયાએ આશા વ્યક્ત કરી કે, મનપા બન્યા બાદ કામોમાં વેગ આવશે. અન્ય શહેરોની જેમ અહીં પણ વીજળીના તાર અન્ડરગ્રાઉન્ડ થાય અને રોડ-રસ્તા માત્ર લેવલિંગ નહીં પણ યોગ્ય આયોજન સાથે બને તે જરૂરી છે. શહેર ડસ્ટ-ફ્રી, ક્લીન અને વધુમાં વધુ વૃક્ષારોપણ સાથે 'ઓક્સિજન પ્રુફ' બને તેવી અમારી અપેક્ષા છે. ટેક્સ વધે તેની સામે સુવિધામાં પણ વૃદ્ધિ થવી જોઈએ. કંચનબેન પ્રજાપતિનો હૈયા વલોપાતસ્થાનિક કંચનબેન પ્રજાપતિએ હૈયા વલોપાત ઠાલવતા કહ્યું કે, ધનજીભાઈએ મત લેવા 10 મીટિંગો કરી જમાડ્યા, પણ હવે સફાઈ કામદારો પણ અહીં આવતા નથી. અમારી શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે, ફોન કરીએ તો જવાબ મળે છે કે માણસો નથી. શું માણસો વિદેશથી લાવવાના છે? આ વખતે મત દેવા જવું કે નહીં તે પણ એક પ્રશ્ન છે. 'નેતાઓ માત્ર વોટ માટે આવે છે' સાફ-સફાઈના મુદ્દે શારદાબેને પણ સુર પુરાવતા કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષથી અહીં કોઈ નિયમિત સફાઈ કરવા કે ગટર સાફ કરવા આવતું નથી. નેતાઓ માત્ર વોટ માટે આવે છે, પણ અમારી શેરીની સમસ્યાઓ જોવા કોઈ તૈયાર નથી. આ પ્રશ્નોનું વહેલું નિરાકરણ આવે તે જરૂરી છે.” માત્ર વાતો નહીં કામ જોઈએ મુસ્લિમ મતદાર ઇસ્માઇલ બાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે સત્ય અને દેશના વિકાસની સાથે છીએ. જે માણસ કામ કરશે તેની સાથે રહીશું. જે નેતાઓ પાંચ વર્ષ સુધી મોઢું નથી બતાવતા, તેમને હવે જનતા શોધી કાઢશે. માત્ર વાતો કરનારાઓનો સાથ હવે નહીં મળે. પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? જ્યારે ભાવનાબેન પંચાસરાએ પાણી અને ગટરની સમસ્યા વર્ણવતા કહ્યું કે, “રતનપર શેરી નં. 16 માં સમયસર પાણી આવતું નથી. ચોમાસામાં આખી શેરીમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધે છે. ગટર અને રસ્તાના ઠેકાણા નથી, આ પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે?”

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:05 am

15 મનપાના ભાજપ ઉમેદવારોના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:અમદાવાદમાં CM અને વડોદરામાં DyCM સહિતના દિગ્ગજ નેતા 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં હાજર રહેશે

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આજે 12 એપ્રિલ, રવિવારે સવારે 9:30 કલાકે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારો સંકલ્પ લઈ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અમદાવાદના 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ કોણ ક્યાં હાજર રહેશે તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:00 am

સિંગર રાજલ બારોટ અને નેહા સુથારને મેદાનમાં ઉતારી ભાજપે ચોંકાવ્યા:BJPએ નગરપાલિકા અને તા.પંચાયતમાં સેલેબ્સને ટિકિટ આપી, માયા ભાઈની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ

ગુજરાતમાં ચારેબાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ટિકિટ માટે બધા પક્ષોમાં જોરદાર આંતરિક ખેંચતાણ મચી હતી. આ દરમિયાન અમુક જગ્ચાએ ઉમેદવાર તરીકે સેલેબ્સની જાહેરાતે બધાને ચોંકાવ્યા છે. ભાજપે સિંગર રાજલ બારોટ અને એક્ટ્રેસ નેહા સુથારને મેદાનમાં ઉતારી છે. જ્યારે ઈન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને ફરી એક વખત ટિકિટ આપી છે. તેમજ લોક સાહિત્યકાર માયાભાઈની પુત્રીએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે. સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશેડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે પોલિટિકલમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ સ્વ મણિરાજ બારોટની દીકરી છે. સ્વ મણિરાજ બારોટે એક સમયે ગુજરાતની સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો હતો. તેના પોગ્રામ જોવા માટે ગુજરાતના ખૂણે ખૂણે લોકો બસ-ટ્રકમાં સવાર થઈને આવતા હતા. પિતાના અવસાન બાદ ભાઈ-બહેનોની જવાબદારી લીધીદીકરી રાજલ બારોટે પણ પિતાની જેમ સિંગિંગમાં કરિયર આગળ ધપાવી છે. પિતાના અવસાન બાદ ત્રણ બહેનના ઉછેરની જવાબદારી રાજલ પર આવી પડી હતી. સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા હતા. આજે રાજલ બારોટનું પણ સંગીતની દુનિયામાં મોટું નામ છે. પતિ પણ નગરપાલિકાના સભ્ય હતારાજલના પતિ અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનાના રાજકારણમાં ઘણા સમયથી સક્રિય છે. તેઓ ગત ટર્મમાં ઉના નગરપાલિકામાં ભાજપના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હવે ભાજપે અલ્પેશ બાંભણિયાના પત્ની એટલે કે સિંગર રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નં-7માંથી ટિકિટ આપી છે. 'બેબીને બોર્નવિટા પીવડાવો' ફેમ નેહાની રાજકારણમાં એન્ટ્રીઅંદાજે સાત વર્ષ પહેલા 'બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી' આલ્મબ સોંગથી ફેમસ થયેલ નેહા સુથાર હવે રાજકારણની પીચ પર નવી ઈનિંગ રમશે. વિજાપુર તાલુકાની ફૂદેડા સીટ પરથી ભાજપમાંથી ચૂંટણી લડશે. એક સમયે ખેત મજૂરી કરતી નેહામહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિમી દૂર આવેલા સરદારપુર ગામની વતની નેહા સુથારના પરિવારમાં બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. કાર પેઈન્ટર પિતાની દીકરી નેહા સુથારે બાળપણમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેણે ગુજરાન ચલાવવા લોકોના ઘરના કચરા-પોતા પણ કર્યા છે. સ્કૂલના સમયે રવિવારે ખેતરમાં મજૂરીએ પણ જતી. જેના દિવસના 40 રૂપિયા મળતા હતા. નેહા સુથારને સ્કૂલ સમયથી જ ડાન્સિંગ અને સિગિંગનો શોખ હતો. નેહા જેને ગુરુ માને છે એ રમેશકાકાના પોગ્રામમાં જતી હતી.તેણીએ માણસા કોલેજમાં ગેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. એક વર્ષ સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ ક્ષેત્રે કામ કર્યુંનેહા સુથાર આગળ કરિયર બનાવવા માટે અમદાવાદ આવી ગઈ હતી. અહીં તેણે 12 મહિના સુધી હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં જોબ કરી હતી. ત્યાર બાદ વિપુલ પંચીવાલાના પંચમ ગ્રુપ માટે 5 વર્ષ સુધી ડાન્સના પોગ્રામ કર્યા હતા. તેણે સાથે સિંગિગ અને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. ધીમે ધીમે નેહા સુથારને આલ્બમ પછી ફિલ્મમાં કામ મળવા લાગ્યું. રાજકોટ મનપામાં કોંગ્રેસે RJ આભાને મેદાનમાં ઉતારીજ્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણીએ કહ્યું કે, રેડિયો જોકી તરીકે 15 વર્ષ લોકોના પ્રશ્નો દૂર કર્યા, હવે કોર્પોરેટર બનવા ઘરે ઘરે જઈશ. પ્લેટફોર્મ બદલ્યું છે પરંતુ પરફોર્મન્સ એ જ રહેવાનું છે. હું મારું કામ કરવાની છું બાકી લોકોના પ્રશ્નો વડીલો સોલ્વ કરી દેશે. મને પૂરો ભરોસો છે કે લોકો મારા ઉપર વિશ્વાસ મૂકશે અને જીતાડશે. માયાભાઈની પુત્રીની લાઠી તા.પં.ની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રીબગદાણા હુમલા કેસમાં પુત્ર જયરાજની સંડોવણીના કારણે હાલમાં ચર્ચામાં આવેલા ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પરણિત પુત્રીને ભાજપે લાઠી તાલુકા પંચાયતમાં મેદાનમાં ઉતારી છે. સોનલ આહિર (ડેર)ચાવંડ બેઠક પરથી ટિકિટ મળી છે. સસરા આહિર સમાજના અગ્રણીનોંધનીય છે કે માયાભાઈ આહીરની પુત્રી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે 2020માં પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. સોનલ ડેરના સાસુ કંચનબેન ડેર અમરેલી જિલ્લા પંચાયતની ચાવંડ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. જ્યારે જીતુભાઈ ડેર અમરેલી ભાજપ જિલ્લા ઉપ પ્રમુખ સહિત અલગ અલગ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી સો.મીડિયા સ્ટાર અંકિતાની ઉમેદવારીવડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે.અંકિતા પોર ગામની વતની છે અને તેનો જન્મ વડોદરામાં થયો છે . તેને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે. AAPએ સુરતમાં સો.મીડિયા ઇન્ફ્લુએન્સરને ઉતારીઆમ આદમી પાર્ટીએ સુરત મનપાના વોર્ડ નંબર 29માં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને ઉતાર્યા છે. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP એ પરપ્રાંતીય મતો મેળવવા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવાની નવી રણનીતિ અપનાવી છે. કોણ છે સોના સિંહ?સુરતનો વોર્ડ નંબર 29 ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો ગઢ ગણાય છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. સોના સિંહ (ગોલ્ડી રાઘવેન્દ્ર પ્રસાદ સિંહ) મૂળ યુપીના અલ્હાબાદના વતની છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ સુરતમાં જ થયો છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:00 am

અડાજણ-ગોરાટમાં ગંદકીના સામ્રાજ્યથી રહીશો તોબા પોકારી ઊઠયા:આવાસના ગ્રાઉન્ડમાં દારૂની પોટલીઓનો ખડકલો; સ્થાનિકે કહ્યું, સુરતને સ્વચ્છતામાં ઝીરો નંબર આપવો જોઈએ

સુરત મહાનગરપાલિકા જ્યારે પણ રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાના એવોર્ડ મેળવે છે, ત્યારે તેનો જશ શહેરના હજારો સફાઈ કામદારો અને વર્ગ-4ના કર્મચારીઓને જાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે 'દિવ્ય ભાસ્કર'ની ટીમે વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) ની મુલાકાત લીધી, ત્યારે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ હતી. પરંતુ આ 'સ્વચ્છતાના સૈનિકો' પોતે કેવા વાતાવરણમાં રહે છે, તેની વાસ્તવિકતા અત્યંત ભયાનક છે અડાજણ-ગોરાટ વિસ્તારમાં એસએમસીના વર્ગ-4 ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા આવાસની મુલાકાત લેતા જ ગંદકીના ગંજ નજરે પડે છે. આ એ જ કર્મચારીઓ છે જે સવારે ઉઠીને આખા સુરતને ચમકાવે છે, પરંતુ સાંજે જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફરે છે, ત્યારે તેમને ગંદકી અને દુર્ગંધ વચ્ચે રાત વિતાવવી પડે છે. આવાસના ગ્રાઉન્ડ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા હતાં. સ્થાનિક પટેલ કીર્તિએ કહ્યું, સુરતને સ્વચ્છતામાં ઝીરો નંબર આપવો જોઈએ. ચારેકોર ગટરના પાણીમાં ખદબદતી જિંદગીઆવાસની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની છે. ગટરનું પાણી ચારેકોર ફેલાયેલું છે અને તેમાં મચ્છરો તેમજ જીવાત ખદબદતી જોવા મળી હતી. આ ગંદા પાણીને કારણે આખા વિસ્તારમાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાયેલી છે કે ત્યાં થોડી મિનિટો ઉભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે સફાઈ માટે રજૂઆત કરીએ છીએ, પણ અમારી વાત સાંભળનાર કોઈ નથી. ગટરના પાણીને કારણે નાના બાળકો વારંવાર બીમાર પડે છે. ઉંદરોના ત્રાસથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયોગંદકી અને ગટરના પાણીને કારણે આ વિસ્તારમાં ઉંદરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. અહીં ઉંદરો એટલી મોટી સંખ્યામાં અને કદમાં મોટા જોવા મળે છે કે આસપાસની સોસાયટીના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના આ આવાસમાંથી ઉંદરો આસપાસની ખાનગી સોસાયટીઓમાં ઘૂસી રહ્યા છે અને ત્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં મહામારીનો સામનો કરી ચૂકેલા લોકો માટે આ સ્થિતિ ફરી એકવાર ભયની ઘંટડી વગાડી રહી છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલોમાત્ર ગંદકી જ નહીં, પણ આવાસના પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો હોય તેવું પ્રતીત થાય છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલો જોવા મળ્યો હતો. 'ગંદકીથી અમારે ઘર ખાલી કરવા પડે એવી હાલત'સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા પટેલ કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સની એક્ઝેટ પાછળ મારી બારીમાંથી આ 10 વર્ષથી હું ગંદકી જોઉં છું. નથી એ લોકો SMC વાળા ગટર લાઈન રિપેર કરાવતા, નથી ત્યાં રહેનારા રિપેર કરાવતા અને આ ગંદકી અમે એટલી બધી સહન કરીએ છીએ કે અમને અમારે ઘર ખાલી કરવા પડે ને એવી હાલત થઈ જાય છે. 'પોતાનું બધું સેટિંગ થઈ ગયું હોય એટલે કોઈ આવતું નથી'કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમાં રહેનારા એમ્પ્લોઈ ઓછા છે, ભાડુઆત રહેનારા વધારે છે પણ કોઈ જ એનો ઉકેલ લાવતું નથી. હમણાં તો સુરતમાં મત ને નેતાઓની જરૂર જ ક્યાં છે? એમનેમ જ ઇલેક્શન જીતી લે છે એટલે જરૂર જ નથી ને એમને આમ પબ્લિકની પડી જ નથી. પોતાનું બધું સેટિંગ થઈ ગયેલું હોય છે એટલે અહીંયા કોઈ જોવા નથી આવતું કે નથી કોઈ રિપેર કરાવતું. ઉનાળો આવ્યો, ગંદકી, મચ્છર પડે, ગંધ આવે અને જે એની બદબૂ અને અહીંયા જે ગંદકી ફેલાય છે એનું શું? અને અહીંયા બધા પી પી ને રહે છે. 'ગટરો બધી ઉભરાઈ ગઈ, પાણીની પણ બહુ સમસ્યા છે'સ્થાનિક જ્યોત્સનાબેન અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમને જ્યારથી આ ક્વાર્ટર્સ મળ્યા છે, ક્વાર્ટર્સનું રિપેરિંગ થતું નથી અને અમને નોટિસ પર નોટિસ આપે છે. આ ગંદકી પણ એટલી થઈ ગઈ છે, ગટરો બધી ઉભરાઈ ગઈ છે. અમે કેટલી કમ્પ્લેન કરીએ છીએ છતાં પણ એ લોકો ગટરનો કોઈ નિકાલ લાવતા નથી અને પાણીની પણ બહુ સમસ્યા છે. 'બધા બારી બારણા તૂટ્યા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી'જ્યોત્સનાબેને વધુમાં કહ્યું કે, અમને નોટિસ આપીને મકાન ખાલી કરાવવાનું કહે છે, તો અમે માગ્યું છે કે અમારા 3500 રૂપિયા ભાડા કપાય છે તો અમને એ પ્રમાણે બીજે ટ્રાન્સફરમાં અમને ક્વાર્ટર્સ આપો. અમે ક્યાં જઈએ? અમે હાથના ખાલી, પગના ખાલી અમે ક્યાં જઈએ? કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી, બધા બારી બારણા તૂટી ગયા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી ગઈ ક્યારે કોઈ સરખું કરવા અહીં આવ્યાં નથી. 'ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જતા રહે છે'સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા મિતા શાહે જણાવ્યું હતું કે, પાછળ અહીંયા SMC આવાસ છે, અમને કોણ રહે છે એની સાથે કોઈ તકલીફ નથી. પણ જે મેઈન પ્રોબ્લેમ ગંદકીની છે. નોર્મલી બધાના ઘરમાં ડસ્ટબીન હોય તો એ લોકોના ઘરમાં નહીં હોય. એટલી બધી ગંદકી કચરું, પાણી, ગટર બધી સ્મેલ અમારે ત્યાં ઉપર આવે છે. અને સૌથી વધારે તકલીફ ચોમાસામાં પણ એટલી હાલત ખરાબ હોય છે. જેની કોઈ હદ નથી સાહેબ લોકો આવે છે, ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જાય છે. 'પરમેનેન્ટ સોલ્યુશન આટલા વર્ષથી થયું જ નથી'મિતા શાહે કહ્યું કે, ઓનલાઇન કમ્પ્લેન કરવાની કહીએ તો એક દિવસની સફાઈ થાય છે પછી પાછું જ્યાં સુધી કમ્પ્લેન નહીં જાય ત્યાં સુધી એઝ ઈટ ઈઝ. એટલે અહીંયા સફાઈની, કોઈપણ ડિસિઝન લેવાની બહુ જ સખત જરૂર છે. અને રાતના એટલા ડોગ્સ હેરાન કરે છે, ઉપર કોઈ રહે છે જે ડોગ્સ અને કબૂતર પાળે છે એનો પણ એટલો જ ત્રાસ છે. 'વારે વારે કમ્પ્લેન કરવા છતાં કોઈ આવ્યું નથી'સનલાઈટ કોમ્પ્લેક્સમાં રહેતા ગાયત્રી ધર્મેશકુમાર અધ્વર્યુએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમા બહુ જ ગંદકી છે. વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ જ આવ્યું નથી. SMCના ક્વાટર્સમાં શું છે કે એ લોકો રહેતા નથી જે પોતે માલિક, પણ ભાડે આપેલા એ લોકો રહે છે. અને એટલી બધી ગંદકી અને ચોમાસામાં તો એટલા બધા મચ્છર, અત્યારે આટલી ગરમીમાં પણ આટલા બધા મચ્છર છે. સનલાઈટના લોકો SMC ક્વોટર્સની પાછળ રહે છે, એ લોકાને એટલો બધો ત્રાસ છે ને કે ગંદકીથી એ લોકો સહન જ નહીં કરી શકતા. અને વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકો કોઈ આવ્યું નથી. ગંદકીની સમસ્યાનો કોઈ ઉકેલ થયો જ નથી. અને એ સમસ્યાથી સનલાઈટમાં જે લોકો રહે છે ને એને બહુ તકલીફ થાય છે. મચ્છરનો તો બહુ ત્રાસ ગંદકી પણ ખૂબ જ છે. SMC ના જે ઓફિસર છે તે આવીને જોઈએ તો ખબર પડે જે માણસ સનલાઈટમા રહે છે તે લોકો કઈ રીતે રહી શકે છે. 'મત આપવાનો કોઈ મતલબ જ નથી'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી આવેને એ પ્રમાણે જો આ લોકો કામ કરો તો પછી અમને બધાને મત પણ આપવાની ખબર પડે કે ભાઈ અમારા કામો થાય છે. કામો જ નહી થાય તો પછી અમને એમ થાય કે મત આપવાનો કોઈ મતલબ જ નથી. SMC વાળા આવું કઈ કામ જ નથી કરતા તો પછી વોટિંગ પણ ઓછું થઈ જાય. જો કામ કરીને તમે બતાવોને તો પછી પબ્લિકને પણ એવું થાય કે ના ના કંઈ કામ થાય છે અને અમને પણ સુવિધા મળે છે. 'ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું'ગાયત્રીબેને કહ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ. સુરતમાં તો હાઇએસ્ટ ટેક્સ હોય છે. આખા ઓલ ઇન્ડિયામાં સુરત ટેક્સમાં ફર્સ્ટ નંબર છે. પણ છતાં પણ આ ટેક્સ ભરવા છતાં પણ આવો ગંદકી સહન કરવી પડે છે. તો જો હવે મતદાન કરવાનું હોય ને બધા પબ્લિક મત આપે તો અમારા સનલાઈટના લોકો તો એવું જ કહે છે કે ભાઈ જો આ ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું. કોર્પોરેટર આવે તો પણ એ તો ખાલી મત વખતે જ આવતા હોય છે, બાકી તો અત્યારે તો કોઈ આવતું જ નથી.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:00 am

પૂર્વ સ્ટે. ચેરમેન-દંડકના વિસ્તારમાં પાણીની મુશ્કેલી:દૂષિત પાણીને મુખ્ય રસ્તા પર કચરાનાં ઢગલાથી લોકો પરેશાન, સ્થાનિકોએ કહ્યું- નેતાઓ મત માંગવા આવે છે, સમસ્યા સાંભળતા નથી

આગામી 26 એપ્રિલનાં રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પ્રજાનો મિજાજ જાણવા દિવ્યભાસ્કરની ટીમ શહેરનાં અલગ-અલગ વોર્ડમાં લોકો સાથે મુલાકાત કરી રહી છે. જે અંતર્ગત આજે દિવ્યભાસ્કર રાજકોટનાં વોર્ડ નં-2માં આવેલા રેસકોર્સ પાર્ક, એરપોર્ટ રોડ, ભોમેશ્વર ઉપરાંત બજરંગવાડી સહિતનાં વિસ્તારોમાં પહોંચી હતી. જેમાં લોકો સાથે વાત કરતા આ વિસ્તારના લોકોને પીવાના પાણી, સફાઈ અને ડ્રેનેજ સહિતની મુશ્કેલીઓ હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારની શેરી-ગલીઓ ઉપરાંત જામનગર રોડને જોડતા મુખ્ય માર્ગ પર બાંધકામ વેસ્ટ સહિતનાં કચરાનાં ઢગલા જોવા મળ્યા હતાં. તો સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ફાટક બંધ થાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું નજરે પડ્યું હતું. ચારેય કોર્પોરેટરોનાં નામ તો લગભગ કોઈને પણ ખબર નથી અને ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા તો આવે છે, પછી સમસ્યા સાંભળવા પણ આવતા નથી. તેવું લોકોએ જણાવ્યું હતું. 'વોકળાનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે'એરપોર્ટ ફાટક પાસે 30 વર્ષથી વેપાર કરતા હસમુખભાઈ સોરઠીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, એરપોર્ટ ફાટક પાસે આવેલા વોકળાના પાણી ભરાઈ જવાની મુખ્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન વોકળાનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. રોડ-રસ્તા અને સફાઈની કામગીરી સારી રીતે થાય છે, પરંતુ આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી અમારી માંગ છે. 'મત માંગવા તો બધા આવે છે, પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી'ભોમેશ્વમાં રહેતા સુનિતાબેન પરમાર નામના મહિલાએ જણાવ્યું કે, અહીંયા બહુ સમસ્યા છે, રોડ રસ્તાની. અહીંયા આટલો કચરો ભરેલો હોય, બધા ઘા કરી કરીને અહીંયા જ જાય. આપણે કોઈને કહીએ તો કોઈ માનતા નથી. કેટલી વાર અમે સાફ કરાવ્યા તોય અહીંયા આવીને કચરો નાખી જાય છે. ગટર માટે પણ કમ્પ્લેન કરેલી છે, તોય ગટર સાફ કરવા કોઈ આવતું નથી. અમે કોર્પોરેટરને ઓળખતા નથી. મત માંગવા તો બધા આવે છે, પણ પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી. 'નળમાં પાણી ગંદુ અને ડહોળું આવે છે'તેને વધુમાં કહ્યું કે, અહીં કાયમી આ સમસ્યા રહે છે. આ કુંડી છે જે 15 દિવસથી અમે કમ્પ્લેન કરી છે, પણ ખાલી જોઈને જતા રહે છે, કોઈ સાફ કરતું નથી. નળમાં પાણી તો આવે છે પણ તે ગંદુ અને ડહોળું આવે છે. ચોખ્ખું પાણી આવતું નથી. અમારી કોર્પોરેશન પાસે એટલી જ માંગ છે કે આ બધું ચોખ્ખું કરી દયો, ચોખ્ખું પાણી આપો અને ગટર સાફ કરાવો. અમે કમ્પ્લેન કરીએ તો તેનું નિરાકરણ લાવો, બસ બીજી કોઈ માંગ નથી. ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડાઓને કારણે રોગચાળો રાજકોટના બજરંગવાડી-12 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત ગંદુ અને પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. હેતલબેન અને તેમના પતિ સહિત અનેક સ્થાનિકો આ દૂષિત પાણીના કારણે બીમારીનો ભોગ બન્યા છે. આ વિસ્તારમાં ઝાડા-ઉલટી ના 2 કેસ અને પેટના દુખાવાના અનેક કેસો નોંધાયા છે. આ ઉપરાંત, ઠેર-ઠેર ભરાયેલા પાણીના ખાડાઓને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું આ અંગે સ્થાનિક રહીશ હેતલબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદા પાણીના કારણે વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કોર્પોરેટર આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા કે લોકોની સ્થિતિ જાણવા માટે વિસ્તારની મુલાકાત લેવા આવ્યા નથી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમે કોર્પોરેટરોને ક્યારેય જોયા નથી. માત્ર મત લેવા માટે જ આવે છે, પછી કોઈ દેખાતું નથી. 'દરરોજ ગંદકી અને પાણીની ગંભીર સમસ્યા રહે છે'મારુતિનગરમાં રહેતા શરદબેન ચાવડાએ દિવ્યભાસ્કર સમક્ષ આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કાયમ માટે ગંદકી અને પાણીની ગંભીર સમસ્યા રહે છે. નળમાં માત્ર 10થી 15 મિનિટ જ પાણી આવે છે અને તે પણ ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે. આટલા સમયમાં માત્ર 10થી 15 ડોલ જેટલું પાણી ભરાય છે, જે ઉનાળાની સિઝનમાં પૂરતું નથી. 'રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગંદકીના ઠેર-ઠેર ઢગલા જોવા મળે છે, જેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ બાબતે નળ વિભાગ અને કોર્પોરેટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. અમે નિયમિત વેરો ભરીએ છીએ અને ચૂંટણી સમયે મત આપવા પણ જઈએ છીએ, પરંતુ સુવિધાના નામે શૂન્ય છે. કોર્પોરેટર માત્ર ચૂંટણી સમયે દેખાય છે અને અત્યારે કોઈ જ પ્રતિસાદ આપતા નથી. 'અમારા વિસ્તારમાં સાફ-સફાઈ કરવા કોઈ આવતું નથી'બજરંગવાડીમાં રહેતા દયાબેન નામનાં એક સ્થાનિક મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પીવાનું પાણી અત્યંત ડોળું અને ગંદુ આવી રહ્યું છે. ઘરમાં RO સિસ્ટમ ન હોવાથી પાણી ઉકાળીને પીવું પડે છે, તેમ છતાં લોકો માંદા પડી રહ્યા છે. ગંદા પાણીને કારણે ડાયેરિયા, પેટના દુખાવા જેવી બીમારી ફેલાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. સાફ-સફાઈ અંગે દયાબેનના જણાવ્યા મુજબ, અમારા વિસ્તારમાં કોઈ કર્મચારી નિયમિતપણે સાફ-સફાઈ કરવા આવતું નથી. જ્યારે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે જ સફાઈ કામગીરી કરવામાં આવે છે, અન્યથા ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. 'રસ્તાઓ પર જ કચરો વાળીને જમા કરી દે છે'રાજકોટના વોર્ડ નંબર 2માં રેસકોર્સ પાર્કમાં રહેતા કુંજલ જગડાએ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે પોતાનો રોષ ઠાલવ્યો હતો. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારમાં સફાઈ કામદારો બ્લોક પર સફાઈ કરવાને બદલે માત્ર રસ્તાઓ પર જ કચરો વાળીને જમા કરી દે છે. આ બાબતે કામદારોને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. ઘોંઘાટની સમસ્યા દૂર કરવા માગઆ ઉપરાંત, તેમના વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા સતત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતા હોવાથી રહીશો ઘોંઘાટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કુંજલબેનના જણાવ્યા અનુસાર, ફેરિયાઓ સતત મોટા અવાજે લાઉડસ્પીકર ચાલુ રાખે છે, જે અટકાવવાની જરૂર છે. કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા માટે દેખાય છે, પરંતુ ત્યારબાદ વિસ્તારના પ્રશ્નો ઉકેલવા તો દૂર સાંભળવામાં કોઈ રસ દાખવતા નથી. 'એક નંબર પરથી બીજા નંબર પર ધક્કા ખવડાવે છે'રાજકોટના વોર્ડ નં 2માં આવેલા સંજયનગર વિસ્તારના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાવનાબેને આક્ષેપ કર્યો હતો કે, ફરિયાદ કરવા માટે ફોન કરીએ ત્યારે એક નંબર પરથી બીજા નંબર પર ધક્કા ખવડાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર આવીને કોઈ નિરાકરણ લાવતું નથી. અને ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પણ જીત્યા બાદ દેખાતા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રહેવાસીઓની માંગ છે કે વહેલી તકે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે. '12 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે'રાજકોટના જામનગર રોડ પર આવેલા સંજયનગરમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ અંગે સ્થાનિક મહિલા હનીફાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરની ગંદકી એટલી વધી ગઈ છે કે જાણે આખો હોકરો વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમે આ બાબતે તંત્રમાં અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી. 'અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ ઓળખતા નથી'તેને વધુમાં કહ્યું, અગાઉ કોંગ્રેસના કાર્યકરો પણ આવીને ફોટા પાડી ગયા હતા, પરંતુ આજદિન સુધી કોઈ સફાઈ કરવા આવ્યું નથી. ચૂંટણીના સમયે મત માંગવા આવતા નેતાઓ સામે પણ રોષ પ્રગટ કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે આવે છે, પણ જીતી ગયા પછી કોઈ વિસ્તારની દરકાર પણ લેતું નથી. અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ ઓળખતા નથી કારણ કે તેઓ ક્યારેય દેખાતા જ નથી. 'કચરો લેવા માટે ગાડી સમયસર આવતી નથી'એરપોર્ટ રોડનાં વેપારી મનસુખ ચાવડાએ વિસ્તારની ગંદકી અને રોડ-રસ્તાની સમસ્યા અંગે રોષ વ્યક્ત કરતા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વોકળા ઉપર જે બોક્સ ગટર બનાવવામાં આવી છે તેમાં લોકો કચરો નાખી રહ્યા છે. કચરો લેવા માટે ગાડી સમયસર આવતી નથી, જેના કારણે લોકો મજબૂરીમાં બહાર કચરો નાખે છે. સફાઈ તો નિયમિત થાય છે પણ લોકો ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોવાથી ગંદકી ફેલાય છે. 'જૂનો રોડ ખોદવાના બદલે તેની ઉપર જ નવા થર લગાવે છે'વધુમાં તેમણે રોડ-રસ્તાની ખરાબ હાલત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યા ખાડો હોય ત્યાં માત્ર પેચવર્ક કરીને રસ્તાઓને ઊંચા-નીચા કરી દેવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે રોડ-રસ્તા સારા બનાવવામાં આવે અને કોર્પોરેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે પણ વધુ સારું કામ કરવામાં આવે. 'ગટરની ગંધવાળું પાણી આવે છે'રાજીવનગર-1માં રહેતા નજમાબેને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજીવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. અહીં શરૂઆતની 10 મિનિટ સુધી ગટરની ગંધવાળું પાણી આવે છે અને ત્યારબાદ પાણી ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે. જ્યારે પાણીનો ફોર્સ વધે ત્યારે પાણી જતું રહે છે. આ સમસ્યા અંગે અગાઉ એક અધિકારી આવીને પાણી ભરીને તપાસ કરી ગયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આ વિસ્તારની મહિલાઓએ સત્વરે પાણીની સમસ્યા હલ થાય તેવી માંગ કરી છે. 'લોકો અહીં કચરો ફેંકી જાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે'ભોમેશ્વરનાં દિનેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30થી 35 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. તેમણે વિસ્તારની સ્વચ્છતા અંગે વાત કરતા કહ્યું કે, અહીં અઠવાડિયે કે મહિને સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવે જ છે, પરંતુ ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સફાઈ માટે દરરોજ જેસીબી મશીન આવે છે અને કચરો ઉપાડી જાય છે, પરંતુ વિસ્તાર ખુલ્લો હોવાને કારણે બહારથી આવતા લોકો અહીં કચરો ફેંકી જાય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. જોકે, પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને ચૂંટણી સમયે નેતાઓ પણ મત માંગવા માટે અવારનવાર આવતા હોય છે. રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે- નયનાબા જાડેજારાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. નયનાબા જાડેજાએ વિસ્તારની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2માં એવી એક પણ શેરી કે ગલી નથી જ્યાં સમસ્યાઓ ન હોય. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના 4 કોર્પોરેટરો હોવા છતાં આ વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને શેરીઓમાં સ્ટ્રીટ લાઈટની પૂરતી વ્યવસ્થા નથી. શાસક પક્ષ જીત્યા બાદ ભ્રષ્ટાચારમાં મસ્ત થઈ જાય છે- નયનાબા જાડેજાપીવાના પાણીના પ્રશ્ને નયનાબા જાડેજાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, લોકોને પીવા માટે અત્યંત ગંદુ, પીળું અને જીવાતવાળું પાણી મળી રહ્યું છે. વળી, પાણી આપવાનો સમય પણ માત્ર 10 મિનિટ જેટલો જ છે, જે અપૂરતો છે. આ ઉપરાંત ઠેર-ઠેર ગટરો ઉભરાવાની અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સેપ્ટિક ટેન્કનું ગંદું પાણી નળમાં ભળી જવાની પણ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નં 2 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હંસાબેન ધમ્મરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 2 માં અનેક ગંભીર સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે પાણીનો પ્રશ્ન મુખ્ય છે. વિસ્તારમાં કાં તો પાણી ઓછું આવે છે અથવા તો તે ડહોળું આવે છે. ઘણી જગ્યાએ સેપ્ટિક ટેન્કનું ગંદું પાણી નળમાં ભળી જવાની પણ ફરિયાદો ઉઠી છે. આ બાબતે વારંવાર વોર્ડ ઓફિસે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. 'જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે'તેને વધુમાં કહ્યું કે, પાણી ઉપરાંત ગંદકીનો પ્રશ્ન પણ એટલો જ વિકટ છે. કચરાપેટીઓમાંથી સમયસર કચરો ઉપાડવામાં આવતો નથી, જેને કારણે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં જીતશે, તો વોર્ડ નંબર 2 માં રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનું નિરાકરણ લાવવામાં આવશે. મોંઘવારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે 'આપ' દ્વારા આ તમામ પ્રશ્નોને અગ્રતા આપીને કામ કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 'ગુજરાતમાં 40% કમિશન વાળી સરકાર ચાલી રહી છે'વોર્ડ નં. 2ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ચિંતન દવેએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 40% કમિશન વાળી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રાજકોટમાં એરપોર્ટ રોડ છેલ્લા 10 વર્ષમાં 8 વાર બનાવવામાં આવ્યો છે, જ્યારે શહેરના આંતરિક રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે. 'પાણીમાં જીવજંતુઓ જોવા મળે છે'ચિંતન દવેએ જણાવ્યું હતું કે, હાલમાં વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય સમસ્યા છે. નવી પાઈપલાઈનના કામ બાદ હવે પાણી માત્ર 14થી 20 મિનિટ જ મળે છે. મહાનગરપાલિકાના પાણીના ટાંકાઓ લાંબા સમયથી સાફ કરવામાં આવ્યા નથી, જેના કારણે પાણીમાં જીવજંતુઓ જોવા મળે છે અને લોકોએ ફરજિયાત આરો પ્લાન્ટ લગાવવા પડે છે. જો આમ આદમી પાર્ટી સત્તા પર આવશે, તો લોકોને એટલું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે કે કોઈએ ઘરમાં RO રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત તેમણે મારુતિનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, ખુલ્લી ગટરો અને ગંદકીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. વોર્ડના છોટુનગર અને એરપોર્ટ ક્રોસિંગ જેવા વિસ્તારોમાં સફાઈના અભાવ અંગે તેમણે કહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા નિયમિત કચરો ઉપાડવામાં આવતો નથી. જો કોર્પોરેશન પોતે જાગૃત બની સફાઈ કરશે, તો જનતામાં પણ જાગૃતિ આવશે. 'આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા નથી'વોર્ડ નંબર 2માં બજરંગવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી વ્યવસાય કરતા હસમુખભાઈ વાડોલિયાએ વિસ્તારની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા નથી. ખાસ કરીને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે છે. વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની પણ નિયમિત સમયે સફાઈ કરવામાં આવે છે. કોમ્યુનિટી હોલની જરૂરિયાત હોવાની માંગ વ્યક્ત કરીહસમુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારના કોર્પોરેટરો મનિષ રાડીયા અને મીનાબા જાડેજા સતત લોકોના સંપર્કમાં રહે છે અને જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે ટેલિફોનિક અથવા રૂબરૂ મુલાકાત દ્વારા તેનું ત્વરિત નિરાકરણ લાવે છે. વિસ્તારના વિકાસ અને સામાજિક સુવિધા માટે તેમણે કોર્પોરેશન પાસે એક કોમ્યુનિટી હોલની જરૂરિયાત હોવાની માંગ વ્યક્ત કરી હતી. હાઈકમાન્ડને પૂછયા બાદ બાઈટ આપવાનું દર્શિતાબેને કહ્યુંરાજકોટનાં વોર્ડ નં-2માં છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલા કામો અંગે પૂછપરછ કરવા દિવ્યભાસ્કર દ્વારા ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટર દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે પ્રથમ તેઓએ હાઈકમાન્ડને પૂછયા બાદ બાઈટ આપવાનું કહ્યું હતું. બાદમાં મારે આ અંગે કાંઈ કહેવું નથી એમ કહીને વાત ટાળી દીધી હતી. અન્ય બે પૂર્વ કોર્પોરેટરો પૂર્વ સ્ટે. ચેરમેન જયમીન ઠાકર અને પૂર્વ દંડક મનીષ રાડીયાએ બહારગામ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મીનાબાનો સંપર્ક થઈ શક્યો નહોતો. આમ પ્રજાએ જેને ખોબલે - ખોબલે મત આપ્યા હતાં. તેવા આ નગરસેવકો પાંચ વર્ષમાં શુ કર્યું તેનો હિસાબ આપી શક્યા નહોતા.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:00 am

કોંગ્રેસમાં મેન્ડેટનું સસ્પેન્સ, છેલ્લી ઘડીએ ખેલાયો ખેલ!:ભાજપમાં બળવાનો ડર, સિનિયરની બાદબાકી અને Gen-Z પર દાવ; ટીમ જગદીશ વિશ્વકર્માને શેની ચિંતા?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે રાજકીય પક્ષોમાં પડાપડી થઇ. જેના કારણે રાજકીય પક્ષો માટે લોઢાંના ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યારસુધી એવું થતું કે બળવાના ડરથી કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે ડાયરેક્ટ મેન્ડેટ આપી દેતી હતી પણ આ વખતે તો શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપાએ પણ બળવાના ડરે સાવ છેલ્લે ઉમેદવારોની જાહેરાત કરી હતી. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ અને આપના સત્તાવાર ઉમેદવારોએ ફોર્મ તો ભરી દીધા છે પણ આ ચૂંટણીએ તમામ પક્ષોને ટિકિટવાંચ્છુઓનો કડવો અનુભવ કરાવી દીધો છે. સ્થિતિ તો એવી છે કે ફોર્મ ભરાઇ ગયા હોવા છતાં કોંગ્રેસ ઘણી જગ્યાએ પોતાના ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નથી કરી શકી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે શેની મૂંઝવણમાં હતી? સ્થાનિક નેતાઓની નારાજગી કેટલી ભારે પડી શકે? ભાજપ અને કોંગ્રેસનો મદાર કેવા ચહેરાઓ પર હતો? એ જાણવા દિવ્ય ભાસ્કરે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર સાથે ખાસ વાતચી કરી હતી. પહેલાં વાત રાજ્યની 6 મુખ્ય મહાનગરપાલિકાઓની કેટલીક ચર્ચિત ઘટનાઓ વિશે. અમદાવાદ મહાનગરપાલિકા માટે અનેક અસમંજસ, સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 18 મહિલા ઉમેદવારો સહિત કુલ 37 જેટલા કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે અમદાવાદના અમુક ઉમેદવારો જાહેર જ ન કર્યાંઆ તરફ કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જોધપુર, દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ એમ કુલ 14 વિવાદિત વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત અંતિમ ઘડી સુધી નહોતી કરાઇ. સુરતમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યાંસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને હાથોહાથ મેન્ડેટ આપ્યો હતો. જેથી ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઇ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી હતી. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વડોદરામાં ભાજપે 53 નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. જો કે અંતિમ સમયે એક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. વોર્ડ નં.1માં રાગ મછારનું નામ મતદાર યાદીમાં ન હોવાથી વોર્ડ નં.16માંથી આવતા ભૂરસિંગ રાઠવાનું નામ જાહેર કરાયું હતું. જેનું નામ હતું તેણે સ્ટેજ પરથી નીચે ઉતરવું પડ્યુંરાજકોટમાં તો ભાજપે વિજય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર શૈલેષ જાનીના બદલે બીજા ઉમેદવાર નેહલ શુકલને મેન્ડેટ આપ્યો હતો. જેથી શૈલેષ જાની સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. જેના પછી સાંસદ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખે તેમની સાથે બંધ બારણે બેઠક યોજીને મનાવ્યા હતા. રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કર્યા હતા. જ્યારે 50 નવા ઉમેદવારો પર દાવ અજમાવ્યો હતો. રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઇ ધવા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાની બાદબાકી કરીને નવા ચહેરાને તક આપી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે 52 કોર્પોરેટરમાંથી 9 ને જ રિપીટ કર્યા હતા. બાકીના તમામ નવા ચહેરા પર દાવ લગાવ્યો હતો. જામનગરમાં ઉમેદવારે આપને ચકમો આપ્યોજામનગરમાં ભાજપે 14 જેટલા આયાતી ઉમેદવારોને મેદાને ઉતારતા કાર્યકરોમાં રોષ હતો. વોર્ડ નં-6ના વોર્ડ પ્રમુખ અને ભાજપના 31 વર્ષ જૂના કાર્યકર જીવા કનારાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી હતી. ભાજપે જેની ટિકિટ કાપી તેમાં દિગ્ગજ અને સક્ષમ નેતાઓ પણ કપાઇ ગયા હોવાનો કચવાટ છે. જો કે વોર્ડ નં-1ના આપના ઉમેદવાર જયદીપસિંહ ઝાલાએ છેલ્લા દિવસે કોંગ્રેસના મેન્ડેટ પરથી ફોર્મ ભરીને આપને ચકમો આપ્યો હતો! કોંગ્રેસે યુવા પાંખ અને NSUIના કાર્યકરોને ટિકિટ આપીઆ ચૂંટણીમાં યુથ કોંગ્રેસમાં ગુજરાતભરમાંથી 300થી વધુ યુવા નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકીટ માંગી હતી. જેમાંથી કોંગ્રેસે 20 થી 30% લોકોને ટિકિટ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એ જ રીતે NSUIમાંથી 35 દાવેદારોએ ટિકિટ માંગી હતી. જેમાંથી 20 ઉમેદવારોને ટિકિટ મળી છે. ભાવનગરમાં યુવા કોંગ્રેસના 35 નેતાઓએ ટિકિટ માંગી હતી. કોંગ્રેસે આ વખતે યુથ કોંગ્રેસ અને NSUIના લડાયક કાર્યકરો અને નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસની આ સ્ટ્રેટેજી કેટલી કારગર સાબિત થશે એ અંગે પૂછતાં રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે કહ્યું, આજના સમયમાં ભાજપ સત્તામાં હોવા છતાં અને તેની વિદ્યાર્થી પાંખ ABVP હોવા છતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI કોલેજ લેવલે મજબૂતાઇથી કામ કરી રહી છે. અહીંથી જે-તે કાર્યકરો મુખ્ય પાર્ટીમાં જોડાતા હોય છે પણ પછી તેમને પાર્ટી સાઇડલાઇન કરી દેતી હોય છે. આવી ફરિયાદો કોંગ્રેસમાં ખૂબ લાંબા સમયથી હતી. જેને અમિત ચાવડાની ટીમે નિવારવાની કોશિષ કરી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે ફ્રેશ બ્લડ આપવાની કોશિષ કરી છે. જેમાં કેટલાક તો એવા સામાન્ય કાર્યકરો પણ છે જેને તક મળી છે. આવું અત્યાર સુધી કોંગ્રેસમાં ક્યારેય નહોતું બન્યું. તેની સાથે સાથે નોન પોલિટિકલ લોકો હોય અને પાર્ટીની વિચારધારા ધરાવતા હોય તેવાને પણ તક આપવામાં આવી છે. જેને કોંગ્રેસ પાર્ટીએ નવસર્જન શબ્દ આપ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં જાતિગત સમીકરણોને સારી રીતે બેસાડ્યા છે. તેમણે કહ્યું, ભાજપે ત્રણ કે ચાર નિયમો બનાવ્યાં હતા. જેમાં 60 વર્ષથી ઉપર અને જેની 3 ટર્મ પૂર્ણ થઇ ગઇ હોય તેને ટિકિટ ન આપવાનો નિયમ હતો. જેની સામે તેમણે આ વખતે Gen-Zને આકર્ષી શકે તેવી કેટલીક ટિકિટો આપીને યુવાનોને ભાજપ તરફ આકર્ષવાની કોશિષ કરી છે. આ સાથે જ ભાજપે સિનિયર અને જુનિયરનું પણ કોમ્બિનેશન કર્યું છે. આ બધાની વચ્ચે તેમણે જાતિગત સમીકરણો પણ સારી રીતે બેસાડ્યાં છે. ટીમ વિશ્વકર્મા માટે પહેલી મોટી ચૂંટણીભાજપ સામે કયા કયા પડકારો હતા તેની વાત કરતાં તેમણે કહ્યું કે, 27% OBC અનામત બાદ આ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. આમાં ચેલેન્જ એ હતી કે 27% ઓબીસી ઉમેદવાર આપવાના જ હતા પણ અન્ય કેટેગરીની સીટ છે ત્યાં OBC કેન્ડિડેટને ટિકિટ આપવાનો વિરોધ દરેકે દરેક પક્ષમાં હતો. સી.આર.પાટીલના ગયા પછી જગદીશ વિશ્વકર્મા માટે આ પહેલી મોટી ચૂંટણી છે એટલે આ પણ ચેલેન્જ હતી. બીજી તરફ આંતરિક અસંતોષ હતો તેને પણ ડેમેજ કંટ્રોલ કરવાનો હતો. અત્યાર સુધીમાં ભાજપમાં આ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે. કોંગ્રેસ સામે સંગઠનને જીવતું રાખવાનો પડકારકોંગ્રેસ સામે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવાની ચેલેન્જ હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની વાત કરીએ તો ગત 2021ની ચૂંટણીમાં 2015ની તુલનામાં 50% ધોવાણ વોટ શેર અને બેઠકો પર થઇ ગયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ 4 મોટી મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે માત્ર 46 કોર્પોરેટર હતા. જ્યારે સુરતમાં તો એક પણ કોર્પોરેટરે ન હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ‘આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવું. અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવારો શોધવા એ ખૂબ મોટી કવાયત હતી. જે જગ્યાએ કોંગ્રેસની જીતવાની શક્યતાઓ છે ત્યાં તેમનો જૂનો જૂથવાદ અને મારા તારાવાળી લડાઇને હતી. જેના કારણે ફોર્મ ભરવાના છેલ્લા સમય સુધી ન તો ઉમેદવાર જાહેર કર્યા કે ન તો કોઇ લિસ્ટ જાહેર કર્યું.’ આપ ટક્કર આપશેતેમના મતે, આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સુરત સિવાય બીજે ક્યાંય સારો દેખાવ નહોતો કર્યો. અમદાવાદમાં પણ તેઓ થોડા વિસ્તાર પૂરતી સિમિત છે. સુરતથી નવસારી સુધી આમ આદમી પાર્ટીની ટક્કર રહી શકે છે. અત્યાર સુધી ભાજપનો આંતરિક ડખો બહાર નહોતો આવતો પણ આ વખતે બહાર આવેલા ભાજપનો ડખો કેવા સમીકરણો રચી શકે છે તે અંગે તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીને યાદ કરો તો ત્યારે પણ આવી જ સ્થિતિ થઇ હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે કમલમના દરવાજા બંધ કરવા પડ્યાં હતા. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું. તેમણે ભાજપ અને કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલ કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો.તેઓ કહે છે કે, ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નિયમો સામે પ્રશ્નો ઉઠાવ્યાં હતા કે આવા નિયમોના કારણે ક્યાંક ભાજપ જ ભાજપને ન હરાવે તેવો મને ડર છે. ભાજપમાં એવું છે કે જ્યારે કોઇ નિર્ણય થાય એ પછી તેનો ડેમેજ કન્ટ્રોલ કરવાની પ્રોસેસ પણ પેરેલલ શરૂ કરી દેવાય છે. ભાવનગરના પૂર્વ મેયરની બાબતમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લીધું હતું. ભાજપ મોટો થઇ રહ્યો છે પણ સ્થિતિ એવી સર્જાય છે કે રસોઇ લિમિટેડ લોકોની બને છે અને સામે ખાવાવાળાની સંખ્યા વધી જાય છે. આ કારણે અસંતોષ જોવા મળે. ‘કોંગ્રેસમાં આ બાબતે ઉંધી પરિસ્થિતિ છે. અહીં મેન્ડેટ આપ્યાં પછી નેતાઓના ફોન બંધ કરી દે છે. પ્રદેશ કાર્યાલય પર છેલ્લા 3 દિવસથી કોઇ નેતાઓ ફરક્યાં નથી. તેઓ ખાનગી જગ્યા પર બેસીને મિટિંગો કરે છે અને તેમાં પણ તેઓ ઝૂમ પર જોડાઇને અને ફોન પર વાત કરી લે છે.’ તેમણે ભાજપની સ્ટ્રેટેજી વિશે વાત કરતાં કહ્યું કે, પશ્વિમ બંગાળમાં મુખ્ય પાર્ટી ડાબેરી, TMC અને કોંગ્રેસ હતી. જ્યારે ભાજપની એન્ટ્રી થઇ ત્યારે તેનો ફાયદો TMCને થયો હતો. કોંગ્રેસ અને ડાબેરીના પક્ષો ભાજપ તરફ ડાયવર્ટ થયા હતા. ધીરે ધીરે તેમાં વધારો થતો ગયો અને અત્યારે ભાજપ ત્યાનો મુખ્ય વિપક્ષ બની ગયો છે. દિલ્હીમાં પણ આવું જ થયું હતું. ગુજરાતમાં પણ આવી જ પ્રોસેસ ચાલી રહી છે. 'આ પ્રોસેસ કેટલી સફળ થાય છે તેના પર આપ અને કોંગ્રેસનું ભવિષ્ય નક્કી છે કેમ કે ભાજપના મતના ભાગલા નથી પડતા. ભાજપના શહેરી મતો અકબંધ છે. જે લોકો ભાજપને મત નથી આપતા અને કોંગ્રેસને પણ મત આપવા નથી માગતા તેના મત આપ તરફ જાય છે. સ્વભાવિક છે કે ફાયદો ભાજપનો દેખાય પણ ધીરે ધીરે સ્થિતિ એવી થાય કે આપ કોંગ્રેસની જગ્યા લઇ લે તો ભાજપ માટે એક નવી ચેલેન્જ ઊભી થાય. આ વાત ભાજપ પણ જાણે છે એટલે તેણે કોંગ્રેસની સાથે સાથે આપને પણ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે.' અત્યારે મુખ્ય વિપક્ષ થવાની પ્રોસેસ ચાલે છે. આ પ્રોસેસ જ્યારે પૂરી થશે ત્યારે ભાજપ સામે એક ચેલેન્જ ઊભી થશે એટલે ભાજપની કોશિષ છે કે આપને પણ નબળી પાડવી. કોંગ્રેસ તો નબળી છે જ એટલે મતના ભાગલા જ્યાં પડતાં હોય ત્યાં પડવા દેવા. બિનહરિફ પેનલ લોકશાહી માટે કમનસીબીકોઇ પેનલ બિનહરિફ થવાની ઘટનાને તેઓ લોકશાહી માટે મોટી કમનસીબી માને છે. તેમણે કહ્યું કે, આખી પેનલ બિનહરિફ થઇ જાય તેનો અર્થ એ કે જેને ટિકિટ મળી હતી તેણે પહેલેથી સામેવાળી પાર્ટી સાથે સેટિંગ કરી જ રાખ્યું હતું. આવું થાય એટલે જનતાનો મત આપવાનો અધિકાર છીનવાઇ જાય છે. જે લોકશાહી માટે મોટી કમનસીબી છે. 'આટલા વર્ષો પછી પણ જો વિપક્ષ સરખી રીતે મેન્ડેટ ન આપી શકે તો એવો સંદેશ જાય કે કોંગ્રેસને ઇલેક્શન મેનેજમેન્ટ જ નથી આવડતું. આના કારણે પ્રજામાનસમાં એક મનોવૈજ્ઞાનિક કારણ ઊભું થાય કે કોંગ્રેસને મત આપ્યા પછી પણ જો તે જીતી જાય તો ભૂતકાળની જેમ ભાજપમાં ભળી નહીં જાય તેની શું ગેરેન્ટી? લોકોને લાગે કે કોંગ્રેસને મત આપીને ભાજપને ઇનડાયરેક્ટ મત આપવો તેના કરતા તો ભાજપને જ ડાયરેક્ટ મત આપી દેવો સારૂં.'

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 6:00 am

દુષ્કર્મ:શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી યુવાને દુષ્કર્મ આચર્યું

ભાવનગર શહેરમાં માનવતા અને નૈતિક મૂલ્યોને ઝંઝોડીને મુકે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક શખ્સે સગીર વયની દીકરી સાથે મૈત્રી બાંધી તેને લગ્નની લાલચ આપી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને દીકરીના પિતાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આરોપી અશોક મનુભાઈ સોલંકીએ સગીર દીકરી સાથે નજીકતા વધારી તેને મીઠી વાતોમાં ફસાવી અને લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈ તેણીને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો હતો. ઘટનાની જાણ થતાં દીકરીના પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર ઘટનાએ સમાજમાં ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું હતું, સાથે જ સગીરોની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:32 am

ચોરી:સિહોર ગોડાઉનમાંથી 70 હજારની કિંમતના 140 કિલો તાંબાની ચોરી

સિહોર તાલુકામાં ગૌતમેશ્વર રોડ પર સાકરધામ સામે આવેલા પતરાના ગોડાઉનમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તાંબાની વાડીઓની ચોરી કરી જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આશરે રૂ.70 હજારના મુદ્દામાલની ચોરી અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના ઘાંચીવાડા વિસ્તારમાં ઘાંચી જમાતખાના સામે રહેતા બસીરભાઈ ઇબ્રાહીમભાઈ ગોરીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૌતમેશ્વર રોડ પર સાકરધામ નજીક આવેલ પ્લોટમાં તેમનું પતરાના શેડવાળું ગોડાઉન આવેલું હતું. જ્યાં તેઓ માટી ધોઈને તેમાંમાંથી નીકળતી તાંબાની વાડીઓને ત્રણ બોરીમાં ભરીને રાખી હતી. ઘટનાની રાત્રે અજાણ્યા ઈસમોએ ગોડાઉનની બારીના બોલ્ટ ઢીલા કરી અંદર પ્રવેશ કર્યો હતો. આગલા દિવસે ગોડાઉન પર પહોંચતા ત્રણેય બોરીઓ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતા બારી લટકતી હાલતમાં જોવા મળતા ચોરી થયાની ખાતરી થઈ હતી. તસ્કરો આશરે 140 કિલોગ્રામ તાંબાની વાડીઓ, જેની કિંમત પ્રતિ કિલો ₹500 મુજબ કુલ ₹70 હજાર જેટલી થતી હતી, ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ધરપકડ:કારખાનામાં નોકરીની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ

જામનગર પંથકની વતની હાલ રાજકોટ રહેતી પરિણિતાને કારખાનમાં નોકરીએ રાખવા લાલચ આપી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ મોટી માટલી પંથકના મુળ વતની રાજકોટ રહેતા શખસ સામે નોંધાવાઇ હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. જાણવા મળતી વિગત અનુસાર જામનગર પંથકની મુળ વતની હાલ રાજકોટ રહેતી એક પરિણિતાએ બ્યુટીપાર્લર માટે ફોન લગાડતા ભુલથી રોંગ નંબર ડાયલ થવાથી આરોપી પંકજ ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા(રે. મુળ મોટી માટલી, હાલ રાજકોટ) સાથે સંપર્ક થયો હતો જે બાદ આરોપીએ કારખાનામાં નોકરીમાં રાખવાની લાલચ આપી રાજકોટમાં એકાદ માસ પુર્વે હોટલમાં બોલાવી કૂકર્મ આચર્યુ હતુ જે બાદ અવાર નવાર ફોન મારફતે સંપર્ક રાખી બાદમાં પરિણિતા જામનગર પંથકમાં સાસરે આવતા આરોપીને જાણ થતા સાત રસ્તા પાસે પરિણિતાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન નજીક એક હોટલમાં કારખાનામાં ફોર્મ ભરવાનુ કહી બોલાવી પરિણિતા પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.આ સમગ્ર બનાવ મામલે ભોગગ્રસ્તની ફરીયાદના આધારે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી પંજક ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જે આરોપીને જેલહવાલે કરાયો છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

તસ્કરી:જામનગરમાં કારખાનામાં 1.08 લાખની મત્તા ચોરાઈ

જામનગર-રાજકોટ હાઈવે રોડ પર આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટકીને કોમ્પ્યુટર, પિતળનો ભંગાર, પંખા, ટેપ સહિતનો રૂ.1.08 લાખના મુદામાલની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ગોકુલનગર શેરીનં-8, મુરલીધરનગરમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ વેકરીયા (ઉ.વ.27) નામના યુવાનનું શહેરના રાજકોટ રોડ માનસી હોટલની પાછળ વિકલ્પ અન્ડસ્ટ્રીઝની બાજુમાં ખાડીયાર પ્લાસ્ટીકનું કારખાનું આવેલ છે. તે કારખાનામાં ગત તા.3 થી 10 એપ્રિલ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનામાંથી કોમ્પ્યુટર, પ્રીન્ટર રૂ.20 હજારની કિંમતનું તેમજ ઈલેકટ્રીક સગડી, પીતળનો ભંગાર 60 કીલો રૂ.50 હજારની કિ઼મતનો તેમજ કોપરનો ભંગાર 20 કિલો રૂ.14 હજારની કિંમત તેમજ બ્રાસપાર્ટનો છોલ 40 કિલો રૂ.22 હજારનો તેમજ એક પંખો, ટેપ અને એલોજન લાઈટ મળીને કુલ રૂ.1,08,800ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખસોની શોધખોળ આરંભી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

જન્મદિવસની ઉજવણી:વનતારામાં રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ની ભક્તિમય ધુનમાં અંબાણી પરિવાર લીન

જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બોલીવુડ સિતારાઓ પણ ઉમટી પડ્યા હતાં. ભોજન, ડાયર તેમજ દાન-પુણ્ય કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સમાં ફિલ્મી સિતારાઓ સાથે રાધે..રાધે..ગોવિંદ.. રાધે..ગોવિંદની ધુનમાં અંબાણી પરિવાર લીન થયો હતો. ધુનમાં મુકેશ અંબાણી તેમજ નિતાબેન અંબાણી તેમજ અનંત અંબાણીએ ધુન બોલી હતી. જેમાં બોલીવુડ સિતારાઓ રણવીરસિંહ સહિતના કલાકારો પણ નીચે બેસીને ધુન બોલી હતી. આ વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જે લોકો નિહાળીને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે. જેમાં અંબાણી પરિવારની સાદગી પણ જોવા મળી રહી છે. અનંત અંબાણીના જન્મ દિવસ નિમિતે મંદીરોમાં તેમજ પશુ-પંખીઓને દાન કરાયું હતું. તો રિલાયન્સ કંપનીની આસપાસ આવેલા ગામોમાં ભોજન તેમજ ડાયરાઓ સહિતનું આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

વાતાવરણ:શહેરમાં 48 કલાકમાં મહત્તમ પારો 4 ડિગ્રી ઉંચકાયો, 36 ડિગ્રી

જામનગર સહિત હાલારમાં ગત સપ્તાહે વાતાવરણમાં પલટા બાદ બેવડી ઋતુનો માહોલ સર્જાયો હતો.જોકે, છેલ્લા બે દિવસથી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા મહતમ પારો ચાર ડિગ્રી ઉંચકાયો હતો અને તાપમાન 36 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના પગલે બપોરના સુમારે લોકોએ આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાનો પણ અહેસાસ કર્યો હતો. હાલારમાં ગત સપ્તાહે હવામાનમાં પલટો આવ્યો હતો જેમાં અમુક સ્થળોએ હળવા ભારે કમૌસમી વરસાદ છેલ્લા એકાદ સપ્તાહથી મહતમ તાપમાન આંશિક ફેરફાર સાથે મહદઅંશે સ્થિર થયુ હતુ.જેમાં શુક્રવારથી ઉનાળાએ આગવો મિજાજ દર્શાવતા તાપમાાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો.જે બાદ શનિવારે પણ ગરમીનુ જોર વધતા પારો વધુ બે ડિગ્રી ઉંચકાયો હતો.આમ, 48 કલાકમાં જ મહતમ તાપમાન 4 ડિગ્રી વધી જતા શહેરીજનોએ ઉનાળાના આગવા મિજાજનો અહેસાસ કર્યો હતો.ખાસ બપોરના સુમારે આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી પર સ્થિર રહયુહ તુ. બીજી બાજુ દશથી વીશ કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવાથી સાંજે શહેરીજનોએ આંશિક રાહત અનુભવી હતી.જામનગર સહિત હાલારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર સમાપ્ત થતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા હવામાન શાસ્ત્રોઓએ દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ટિકિટ મેળવવાના મામલે ગરમાગરમી:છેલ્લી ઘડીએ જાણ કરાતાં ભાજપના 3 ઉમેદવારો ફોર્મ ભરી ન શક્યા, કોંગ્રેસના પાંચ ઉમેદવારોમાં ડખો પડ્યો

સાબરકાંઠા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે શનિવારે છેલ્લા દિવસે ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી હતી અને સમય ઓછો પડતાં ભાજપના 3 અને કોંગ્રેસના 5થી વધુ ઉમેદવારોને ફોર્મ ભરી શક્યા ન હતા. વોર્ડ-3માં અનુસૂચિત જાતિ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ બની ગયા હતા અને ટાવર ચોકમાં પ્રથમ બેઠક જીત્યાની કોંગ્રેસે ફટાકડા ફોડી ઊજવણી કરી હતી. કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી સામે ગંભીર આક્ષેપો કરાતાં મામલો ગરમાયો છે. જેને પગલે સવારથી સાંજે 6 વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજની કોંગ્રેસ દ્વારા વિધિવત માંગ કરાઇ હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે કુલ 157 ઉમેદવારોએ 160 ફોર્મ રજૂ કર્યા છે. જેમાં છેલ્લા દિવસે શનિવારે 76 ફોર્મ રજૂ થયા હતા. તે પૈકી પોશીનાની 4 બેઠક માટે સૌથી વધુ 30 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. બાકી તમામ બેઠક પર 4 ઉમેદવારો જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લાની 8 તાલુકા પંચાયતની 170 બેઠક માટે 708 ઉમેદવારોએ 713 ફોર્મ રજૂ કર્યા છે. કોંગ્રેસ કેટલી બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે તેની મોડી સાંજ સુધી સંગઠન દ્વારા સ્પષ્ટતા કરાઈ નથી. સાબરકાંઠામાં પોશીના તાલુકા પંચાયતમાં 20 બેઠક માટે સૌથી વધુ 131 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપના કાર્યકરો અને કેટલાક સરકારી અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કર્યાનો કોંગ્રેસપાર્ટીએ આક્ષેપ કર્યો હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ બારોટ, કુમારભાટ, રણછોડ પરમાર અને સંજયભાઈ વાઘેલાએ જણાવ્યું કે અમારી હાજરીમાં ભાજપના કાર્યકરો અને કેટલાક સરકારી અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બપોરે 3 વાગ્યા પછી પણ ભાજપના કાર્યકરો દ્વારા ફોર્મ રજૂ કરાયા હતા. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે નક્કી સમયમર્યાદા બાદ ફોર્મ ન સ્વીકારવાના નિયમો હોવા છતાં SDM દ્વારા આ ફોર્મ સ્વીકારાયા હોવાનું શહેર કોંગ્રેસે જણાવતા દિવસ દરમ્યાનના ફૂટેજની માંગણી કરી સીડી માટે બેઠા છીએ. કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે નક્કી સમયમર્યાદા બાદ ફોર્મ ન સ્વીકારવાના નિયમો હોવા છતાં SDM દ્વારા આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાનું કહી ફૂટેજની માંગણી કરી સીડી માટે બેસી હતા. વોર્ડ-3માં ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરી ન શક્યાભાજપ અને કોંગ્રેસ સંગઠન દ્વારા જાણવા મળી રહ્યા મુજબ વોર્ડ-3માં ભાજપના ઉમેદવાર દશરથભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાની જાણ કરાતાં પહોંચી વળ્યા ન હતા અને ફોર્મ ભરી શક્યા ન હતા. જ્યારે વોર્ડ-2માં ભાજપના રાજુભાઈ શર્માની એફિડેવિટમાં કોઈ ખામી જોવા મળતાં તેની દુરસ્તીનો વિવાદ ઉભો થયો હતો. જો કે ચૂંટણી અધિકારીએ પૂર્તતા કરવા માટે દરેકને તક આપવાની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. આની સામે વોર્ડ નંબર 8, 9 અને 10માં કોંગ્રેસના પાંચથી વધુ ઉમેદવારો ફોર્મ ભરી શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ભાજપના ઉમેદવાર પાસે 110 તોલા સોનું!:જિ. પંચાયતમાં પુંસરી બેઠકના ઉમેદવાર મહેન્દ્ર પટેલ રૂ. 12.70 કરોડના આસામી

સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી પુંસરી બેઠક પરથી ઉમેદવારી કરનાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ મહેન્દ્રભાઈ પટેલ સૌથી વધુ 12.70 કરોડની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હોવા જ સહિત ઉદ્યોગપતિ પણ છે. તેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી. જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલ પાસે હોન્ડા જેજ કાર છે અને દીકરા પાસે ટેસ્લા કંપનીની 72 લાખની કાર છે. તેમનો પરિવાર 110 તોલાનું ઝવેરાત ધરાવે છે તો 7 કરોડના જમીન અને મકાન છે. પરિવાર પાસે 8.50 લાખ જેટલી હાથ ઉપર સિલક છે તો 1.39 કરોડની થાપણો અને 1.86 કરોડના બોન્ડ ડિબેન્ચર્સ શેર ધરાવે છે. જિલ્લા પંચાયતની 34 બેઠકના ઉમેદવારો પૈકી 54 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ સૌથી વધુ શ્રીમંત અને શિક્ષિત છે. જંગમ મિલકતની વિગત વિગત

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ટિકિટ વહેંચણીને લઈને ભારે ઉથલપાથલ:માંડવીમાં ભાજપનો ટિકિટ વિતરણમાં છબરડો : ‘એક જ નામે બે બેઠક જાહેર’

માંડવીમાં ભાજપની ટિકિટ વહેંચણીને લઈને ભારે ઉથલપાથલ મચી ગઈ છે. તાલુકા પંચાયતની વિરાણી નાની ST અનુસૂચિત જનજાતિ સીટ માટે પ્રભાબેન મેરામણભાઈ હુંણ (ચારણ)ના નામની જાહેરાત થયા બાદ, જિલ્લા પંચાયતની ભીમાસર (ચકાસર) બેઠક માટે પણ તેમને જ ટિકિટ ફાળવાતા ‘એક નામ બે સીટ’નો છબરડો ખુલ્લો પડી ગયો છે. પાર્ટીની તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરની પાર્લામેન્ટરી બેઠકોમાં એક જ ઉમેદવારના નામને બે અલગ સીટ પર મંજૂરી મળતા સંકલનના અભાવની સ્પષ્ટ ઝલક સામે આવી છે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ભાજપની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે, જ્યારે પક્ષના અંદરના સૂત્રો પણ આ ગૂંચવણને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ ST અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારોની અછત તરફ સીધો ઈશારો કરે છે. શું ખરેખર ભાજપ પાસે વિકલ્પોની ખોટ છે, એવો સવાલ હવે સ્થાનિક કાર્યકરોમાં જોર પકડી રહ્યો છે. કેટલાક વર્તુળોમાં આને “સેફ પ્લે” ગણાવીને મજબૂત ઉમેદવારને બે મોરચા પર ઉતારવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આ નિર્ણય પાર્ટીની આંતરિક ગોઠવણ અને જૂથબાજીનું પરિણામ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એક ઉમેદવારને બે તકો અપાતાં અન્ય દાવેદારોમાં નારાજગી ઊભી થઇ છે. નાની વિરાણી બેઠક પર પાયલબેન રાણા બિનહરીફભુજ અને અંજાર ખાતે યોજાયેલી ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન માંડવી તાલુકામાં રાજકીય ગૂંચવણનો માહોલ વધુ ગાઢ બનતો દેખાયો હતો. ગઢશીશા નિવાસી અને ગીર સોમનાથ ચારણ જ્ઞાતિના ST અનુસૂચિત જનજાતિ વર્ગના પ્રભાબેન મેરામણભાઈ હુંણ દ્વારા તાલુકા પંચાયતની નાની વિરાણી બેઠક તથા જિલ્લા પંચાયતની ભીમાસર (ચકાસર) બેઠક માટે ફોર્મ ભરાતા ગૂંચવણ ઊભી થઈ હતી. આ મુદ્દે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ જિલ્લા ભાજપના મોવડીઓને જાણ કરી હોવાની માહિતી પણ સામે આવી છે. ગૂંચવણ વચ્ચે નાની વિરાણી બેઠક માટે પાયલબેન સોમાભાઈ રાણાએ ફોર્મ ભર્યુ હતું. જોકે અન્ય કોઇ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા તેમને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ભાજપે ભત્રીજી તો કોંગ્રેસે કાકી પર દાવ ખેલ્યો:બાદરગઢમાં કાકી અને ભત્રીજી વચ્ચે જામશે રાજકીય જંગ

કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતું નથી, પરંતુ જ્યારે ચૂંટણીનો જંગ આંગણા સુધી પહોંચે ત્યારે તે આખા પંથકમાં ચર્ચાનો વિષય બને છે. આવો જ કંઈક કિસ્સો રાપર તાલુકાની બાદરગઢ તાલુકા પંચાયત બેઠક પર જોવા મળ્યો છે. અહીં લોકશાહીના પર્વમાં એક જ પરિવારના બે સભ્યો સામસામે મેદાને ઉતર્યા છે. બાદરગઢ બેઠક પરથી ભાજપે યુવા ચહેરો પૂનમબેન બચુ પટેલને ટિકિટ આપી છે, તો બીજી તરફ કોંગ્રેસે તેમના જ કાકી માનાબેન ગોવિંદભાઈ વૈદને ઉમેદવાર તરીકે ઉતારીને જંગને રસાકસીભર્યો બનાવી દીધો છે. સંબંધે કાકી-ભત્રીજી થતા આ બંને ઉમેદવારો હવે મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવશે. ગઈકાલ સુધી જેઓ એક જ પરિવારના પ્રસંગોમાં સાથે જોવા મળતા હતા, તેઓ હવે અલગ-અલગ પક્ષના ઝંડા સાથે પ્રચારના મેદાનમાં સામસામે હશે. એક તરફ ભાજપનો કેસરીયો છે તો બીજી તરફ કોંગ્રેસનો પંજો. હવે જોવાનું એ રહેશે કે બાદરગઢની જનતા પરિવારના ‘મોટા ગજગજા’ને માન આપે છે કે પછી ‘યુવા લોહી’ પર પસંદગીનો કળશ ઢોળે છે. આ પારિવારિક છતાં રાજકીય લડાઈએ સમગ્ર રાપર પંથકમાં ભારે કુતૂહલ જગાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

જૂના મનદુઃખના કારણે હુમલો:બારમણના યુવકને ચૌત્રાના પુલ પર પાઈપ વડે ફટકાર્યો

ખાંભા તાલુકાના ચૈાત્રા ગામ નજીક ભુતડા દાદાના મંદિર પાસે પુલ ઉપર યુવાન પર લોખંડના પાઇપથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રહેતા યુવરાજભાઈ મધુભાઈ ચાંદુ (ઉ.વ.26) સાથે શિવરાજ મંગળુભાઈ વરૂ અને રણજીત બંને GJ-14-AH-7331 નંબરનું બાઇક લઈ મોટા બારમણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ચૈાત્રા ગામે ભુતડા દાદાના મંદિર નજીક પુલ ઉપર પહોંચતા કમલેશ લખુભાઈ ધાખડા તેમજ બે અજાણ્યા શખ્સોએ અગાઉં ફોનમાં થયેલી બોલાચાલીના મનદુઃખ રાખી કાર આડી મૂકી તેમને રોકી અપશબ્દો બોલી લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. યુવરાજભાઈને આડેધડ માર મારતા બંને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમજ મારી નાખવાની ધમકી આપીચત નાસી છૂટ્યા હતા. આ અંગે ખાંભા પોલીસે કમલેશ લખુભાઈ ધાખડા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

મેણા-ટોણા મારી પતિએ કરી મારપીટ:નીંગાળામાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ: રાવ

રાજુલાના વિકટર ખાતે લેબર ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ભારતીબેન ભાવેશ ભીલ (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 10 ઓક્ટોબર 2024થી આજદિન સુધી તેમના પતિ તથા સાસરીયા પક્ષના લોકો દ્વારા કરિયાવર બાબતે વારંવાર મેણા-ટોણા મારી હેરાન કરવામાં આવતી હતી. તેણીના પતિ ભાવેશ ભગવાનભાઈ ભીલ દ્વારા તેમને મારપીટ કરી ગાળો આપવામાં આવતી હતી અને દવા પીવડાવી દઈ મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત સાસુ જીતુબેન, સસરા ભગવાનભાઈ ભીલ, જેઠ વિનુભાઈ ભીલ તથા જેઠાણી મધીબેન ભીલ સામે પણ ત્રાસ આપ્યાની રાવ કરવામાં આવી છે. સમગ્ર મામલે મહુવામાં રહેતી કૈલાશબેન બટુકભાઈ મકવાણાએ પતિને ભારતીબેનને છોડી દેવા માટે ઉશ્કેરણી કરી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે પતિ ભાવેશ ભગવાનભાઇ ભીલ, સાસુ જીતુબેન ભગવાનભાઈ ભીલ, સસરા ભગવાન નાનજીભાઇ ભીલ, જેઠ વિનુ ભગવાનભાઇ ભીલ, જેઠાણી મધીબેન વિનુભાઇ ભીલ અને મહુવાના કૈલાશબેન બટુકભાઇ મકવાણા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની કાર્યવાહી:6 માસથી 9.60 લાખના હીરા લઈ છૂ થયેલો શખ્સ ઝડપાયો

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે દાડમા ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિર્દેશક, ગુજરાત રાજ્યના આદેશ મુજબ તા. 7 થી 21 એપ્રિલ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે અમરેલી પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની તપાસ દરમિયાન સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સુરેશ ભીખાભાઈ ધાનાણી (ઉ.વ. 57) છ મહિના અગાઉ એક વેપારી પાસેથી રૂપિયા 9.60 લાખના હીરા ખરીદી ચૂકવણી ન કરી હીરા લઈ રફુચક્કર થઈ ગયો હતો. જેને ગઈ કાલે લીલીયા તાલુકાના દાડમા ગામથી પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે લિલિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ધમકી અને નુુકસાન:બિલ વગર પેટ્રોલ-ડીઝલ ન આપતા મેનેજરને ધમકી, ગાડી અથડાવી રૂા. 80 હજારનું નુકસાન

રાજુલાના ભેરાઇ એક કંપનીના મેનેજરને બીલ વગર પેટ્રોલ-ડીઝલ આપવાની માંગણીને લઇ ધમકી આપવાની અને ગાડી અથડાવી નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસે ફરિયાદ નોંધી છે. રાજુલાના ભરતનગરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પવન શર્મા (ઉ.વ.31) એક ગલ્ફ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તા. 23 માર્ચના રોજ રાત્રે આશરે 8 વાગ્યે ભેરાઇ ગામનો રહેવાસી ભરત ઉર્ફે રેસે મોબાઇલ ફોન દ્વારા પવન શર્માનો સંપર્ક કરી તેમની કંપનીમાંથી બીલ વગર બિન કાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ આપવાની માંગ કરી હતી. જેથી આ ગેરકાયદેસર કામ કરવા તેઓએ ઇનકાર કરતા ભરતે નોકરી ન કરવા દેવાની અને માર મારવાની ધમકી આપી હતી. બાદ તા. 06 એપ્રિલે ફરી આ શખ્સ કંપનીની ઓફિસે જઈ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. તેમજ ગઈ કાલે સાડા છ વાગ્યાના અરસામાં શ્રીજી હોટલ આગળ ભેરાઇ ટી-પોઇન્ટ પાસે ભરત અને બે અજાણ્યા શખ્સો પોતાની કાર લઈને આવી પવન શર્માની ગાડી સામે રોકી ઇરાદાપૂર્વક અથડાવી દઈ ગાડીમાં રૂપિયા 80 હજાર જેટલું નુકસાન પણ કર્યું હતું. તેમજ તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિઓ ગાડીમાંથી ઉતરી આવી તુ મને બીલ વગર પેટ્રોલ-ડીઝલ કેમ આપતો નથી કહી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીપાવાવ પોલીસે ભરત અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

LCBની કાર્યવાહી:રાજકોટમાં બે ગુનામાં ફરાર શખ્સને હિંડોરણામાંથી LCBએ દબોચી લીધો

અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરી હાથ ધરી રાજકોટ શહેરના બે અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી કાયદેસરની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેની તપાસ દરમિયાન અમરેલી એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર સુનીલ વિનુભાઈ સોલંકી (ઉ.વ. 26) ને રાજુલા તાલુકાના હિંડોરણા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ શખ્સ મૂળ વડીયા તાલુકાના મોટા ઉજળા ગામનો રહીશ છે અને હાલ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે પેટ્રોલપંપ પાછળ રહેતો હતો.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ધાર્મિક આયોજન:બગસરામાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી(મહાપ્રભુજી) ના 549માં પ્રાગટ્ય મહોત્સવની 13 એપ્રિલે ઉજવણી થશે

પ્રેમલક્ષણા ભક્તિનું બીજ રોપી પુષ્ટિમાર્ગની સ્થાપના કરનાર શ્રીમદ્દ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)ના 549મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી બગસરાની મોટી હવેલી ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે. આ ઉજવણી 108 પ્રભુજી મહારાજશ્રીની આજ્ઞા અનુસાર અને યુવરાજ 108 રાસેશ્વર બાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તા. 13 એપ્રિલના રોજ યોજાનારા આ મહોત્સવ માટે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ સવારે 6 વાગ્યે મોટી હવેલીથી પ્રભાતફેરી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. ત્યારબાદ સવારે 6:30 વાગ્યે મોટી હવેલીમાં ધ્વજવંદન કરવામાં આવશે. સવારે 7 વાગ્યે મંગળા દર્શન અને આરતી યોજાશે. સવારે 10 વાગ્યે પલના દર્શન તથા નંદ મહોત્સવ યોજાશે. બપોરે 12 વાગ્યે તિલક આરતી અને રાજભોગ દર્શન થશે. ત્યારબાદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મંગલ મનોરથ ગૌ.વા. પ.ભ. મંગળાબેન અમૃતલાલ મસરાણી તથા શ્રીજી કેટરર્સના નવીનભાઈ મસરાણી દ્વારા કરવામાં આવ્યો છે. સાંજે 4 વાગ્યે મહાપ્રભુજીની વર્ણાગી (શોભાયાત્રા) શિક્ષક સોસાયટી ગોકુળપરા સ્થિત સંજયભાઈ નળિયાધરાના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા શહેરના પટેલવાડી ચોક, સરદાર ચોક, હોસ્પિટલ રોડ, ગોંડલિયા ચોક, વિજય ચોક, મેઇન બજાર, ગાંધી ચોક અને નાની બજાર થઈને મોટી હવેલી પહોંચશે. જ્યાં પૂ.પા.ગો.108 પ્રભુજી મહારાજશ્રી તેમજ પૂ.પા.ગો.108 ચિ. શ્રી રાસેશ્વર બાવાના સ્વમુખે વચનામૃત આપવામાં આવશે. ઠાકોરજીને કેશરી સ્નાન કરાવવામાં આવશે અને કીર્તન મંડળી દ્વારા વધાઈ કીર્તન રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બગસરા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ મહાલક્ષ્મી મહિલા મંડળ તથા બગસરા વૈષ્ણવ યુથ ક્લબ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

પાલિકા અને ‎પંચાયતની ચૂંટણી:પાલિકા અને પંચાયતની 408 સીટ માટે 1314 ઉમેદવાર: 68 ટકા ફોર્મ અંતિમ દિવસે ભરાયા

અમરેલી જિલ્લામાં પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ ભારે ધસારો કરી મુક્યો હતો. અંતિમ દિવસે જ પાલિકા અને પંચાયત માટે કુલ 901 ફોર્મ ભરાયા હતા. જેને પગલે હવે 1314 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ 5 દિવસ સુધી ધીમી ચાલી હતી. બલકે કુલ ફોર્મ ભરાયા છે. તેના 68 ટકા ઉમેદવારોએ આજે અંતિમ દિવસે ફોર્મ ભર્યા હતા. જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે પૈકી અમરેલી પાલિકા માટે આજે અંતિમ દિવસે 130 ફોર્મ ભરાયા હતા. ઉપરાંત કુંડલા પાલિકા માટે 74 અને બગસરા પાલિકા માટે 84 ફોર્મ ભરાયા હતા. તમામ છ પાલિકાના મળી અંતિમ દિવસે 451 ફોર્મ ભરાયા છે. જેથી કુલ ફોર્મ ની સંખ્યા 548 સુધી પહોંચી છે. આવી જ રીતે 11 તાલુકા પંચાયત માટે આજે 381 ફોર્મ ભરાતા હવે કુલ 639 ઉમેદવાર થયા છે. જ્યારે અમરેલી જિલ્લા પંચાયતની 34 સીટ માટે અંતિમ દિવસે 69 ફોર્મ ભરાતા કુલ ઉમેદવારની સંખ્યા 127 પર પહોંચી છે. આમ પાલિકા પંચાયત માટે અંતિમ દિવસે 901 ફોર્મ ભરાયા હતા અને તમામ મળી કુલ ઉમેદવારની સંખ્યા 1314 પર પહોંચી છે. કઈ પાલિકામાં કેટલા ઉમેદવાર ? કઈ તાલુકા પંચાયતમાં કેટલા ઉમેદવાર ?

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યા‎:ભીંગરાડ ગામના ખેડૂતે કારની લાલચે રૂા. 2.90 લાખ ગુમાવ્યા

લાઠીના ભીંગરાડ ગામે ઇનામની લાલચ આપી એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ ફોન કરીને ઇનામમાં કાર લાગ્યાનું કહી લખો રૂપિયાની રકમ ઠગી લીધી. લાઠી તાલુકાના ભીંગરાડ ગામના રહેવાસી અને ખેતી કામ કરતા વિનુભાઇ હરીભાઇ કાકડીયા (ઉ.વ.54) ને તા.27 જાન્યુઆરીથી તા.10 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ સમયે અજાણ્યા મોબાઇલ નંબરો પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારાઓએ વિનુભાઇને તેમની પાસે રૂપિયા 9,30,000 કિંમતની કાર ઇનામમાં લાગ્યાનું કહી તેમને વાતોમાં વ્યસ્ત રાખી આ શખ્સોએ વિવિધ બહાના બતાવી અલગ અલગ રકમના કુલ 10 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂપિયા 2,90,800 પડાવી લીધા હતા. બાદમાં કાર નહીં મળતા તેઓ સાથે છેતરપીંડી થયાની જાણ થઈ હતી. લાઠી પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

વેધર રિપોર્ટ:અમરેલી પંથકમાં ઉકળાટભર્યું વાતાવરણ: પારો 40 ડિગ્રી પાર

અમરેલી જિલ્લામાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે તીવ્ર બનતી જાય છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં આવેલા આ વધારાને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા સુધી પહોંચતા ઉકળાટ વધુ અનુભવાયો હતો. અમરેલીમાં આજે પવનની ગતિ પ્રતિ કલાક 7.0 કિલોમીટર રહી હતી. અમરેલીમાં આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ગરમીના કારણે ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો પરેશાન બન્યા હતા. અમરેલીમાં પડેલા કમોસમી વરસાદ બાદ પ્રથમ વખત તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ભાસ્કર વિશ્લેષણ‎:પૂર્વ ધારાસભ્યએ ધારી નગરપાલિકાના સભ્યપદ માટે‎ફોર્મ ભર્યું , અમરેલીમાં દેરાણી-જેઠાણી આમને સામને‎

ધારી નગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાએ સભ્ય પદ માટે ફોર્મ ભરી ભારે આશ્ચર્ય જગાડ્યું હતું. બીજી તરફ ટીકીટને લઈને ભાજપ અને કોંગ્રેસમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો. એનએસયુઆઈ પ્રમુખે તો ભાજપનો ખેસ પહેરી લેતા ટીકીટ પણ મળી ગઈ હતી. જ્યારે અમરેલી પાલિકામાં દેરાણી- જેઠાણી આમને સામને લડશે. ધારી બગસરા વિસ્તારના મનસુખભાઈ ભુવાએ આજે વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી બનાવી હતી. એક સમયના ધારાસભ્ય હાલમાં પાલિકાની ચૂંટણી લડી રહ્યા હોય આ મુદ્દે રાજકીય વર્તુળમાં ચર્ચા પણ જાગી હતી. મનસુખભાઈ ભુવા તમામ 28 ઉમેદવારોને સાથે લઈ આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. બીજી તરફ અમરેલી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ શાહિલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે જ સ્થાનિક ધારાસભ્યના હાથે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. એટલું જ નહી ભારતીય જનતા પાર્ટીએ તેમને પાલિકામાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે ટીકીટ પણ ફાળવી દીધી હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ આજે માયાભાઈ આહિરની પુત્રીને જિલ્લા પંચાયતની ટીકીટ ફાળવી હતી. સોનલબેન મોનિલભાઈ ડેરે જિલ્લા પંચાયતની ચાવંડ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તે સમયે સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટાભાગના ઉમેદવારોએ અંતિમ દિવસે જ ફોર્મ ભર્યા હતા. જેને પગલે જેતે કચેરીઓમાં સૌ પ્રથમ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હતા અને બાદમાં તે અંગે મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. અમરેલી વોર્ડ નં.9માં જેઠાણી ભાજપમાંથી, દેરાણી કોંગ્રેસમાંથી લડશે બીજી તરફ અમરેલી નગરપાલિકામાં સભ્ય પદ માટે દેરાણી- જેઠાણી વચ્ચે રોમાચક ચૂંટણી જંગ જામ્યો છે. આજે પાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જેઠાણી રેણુકાબેન સોલંકીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે દેરાણી કાજલબેન સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. અહીં હવે દેરાણી- જેઠાણી વચ્ચે ચૂંટણી પ્રસારનો જંગ જામશે. અમરેલી પાલિકામાં વોર્ડ નં.11માં દીયર અને ભાભી વચ્ચે પણ જંગ અમરેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 11માં દીયર અને ભાભી વચ્ચે પણ ચૂંટણી જંગ જામશે. આ વોર્ડમાં દીયર ભાવેશ ચાવડાએ આમ આદમી પાર્ટી વતી ઉમેદવારી કરી છે. જ્યારે ભાભી સંગીતાબેન ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. એકબાજુ જેઠાણી અને દેરાણી વોર્ડ નં. 9માં અને બીજી બાજુ દિયર અને ભાભી વચ્ચે વોર્ડ . 11 માં જંગ જામશે. દાનમહારાજની જગ્યાના લઘુ મહંતની ઉમેદવારીચલાલાની દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુએ આજે ધારગણી સીટ પરથી ભાજપમાંથી દાવેદારી કરી હતી. જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરતા પહેલા તેમણે દાનમહારાજની જગ્યામાં દર્શન કર્યા હતા. ભાજપના બે નેતાએ કોંગીમાંથી ઉમેદવારી કરીસાવરકુંડલામાં વર્ષોથી સદસ્ય તરીકે ચૂટાતા ધર્મેન્દ્રભાઈ મહેતા અને અનિરૂદ્ધસિંહ વાજાને આ ચૂંટણીમાં ભાજપે ટીકીટ ફાળવી ન હતી. જેને પગલે બંને આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. બંનેએ સાવરકુંડલા પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા. વઢેરા તાલુકા પંચાયતની બેઠક ભાજપને બિનહરીફ મળશેજાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠક પરથી એક માત્ર ભાજપના ઉમેદવારે જ ફોર્મ ભર્યું છે. અહીં કોંગ્રેસ કે આપના કોઈ ઉમેદવારે કોઈ ફોર્મ ભર્યું ન હોય ફોર્મ ચકાસણીના અંતે ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યા બાદ બેઠક બિનહરીફ જાહેર થશે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ઉમેદવારોએ પોતાની સંપત્તિ અંગેની માહિતી આપી:જિલ્લા-તાલુકા ભાજપના 32 ઉમેદવાર ધો.5 પાસથી લઇ બીએડ સુધી ભણેલાં

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાના ફોર્મ 11 એપ્રિલના રોજ ભર્યાં હતાં. ઉમેદવારોએ પોતાના એફિડેવીટમાં પોતાની સંપત્તિ, વાહનો, અભ્યાસ, જમીન અને મકાન અંગેની માહિતી આપી હતી. જે એફિડેવીટનું વિશ્લેષણ કરતા સિમળિયાના હર્ષિલ પટેલે બીએએલએલબી તેમજ અનગઢના બિરેન પટેલે બીબીએનો અભ્યાસ કર્યો છે. જ્યારે રણોલીના ઉમેદવાર કૈરવીબા વાઘેલાના પતિ પાસે રૂા.1.52 કરોડની જમીન તેમજ શેરખીના હર્ષાબેન પરમારની સંયુક્ત 4.3 કરોડની જમીન છે. આ ઉપરાંત સયાજીપુરાના ઉમેદવાર કમલેશ પટેલ પાસે સૌથી વધારે સંયુક્ત રીતે 60 તોલા સોનું, થુવાવીના ભાવેશ પટેલ પાસે પણ સંયુક્ત રીતે 35 તોલા સોનું એફિડેવીટમાં બતાવ્યું છે. એકંદરે 32 ઉમેદવારો પાસે 325 તોલાથી વધુ સોનું હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

છેતરપિંડી:તબીબ પાસે દુબઈ ફરવાના બુકિંગના 2.78 લાખ લઇ ઠગ પિતા-પુત્ર ફરાર

કલાલીના તબીબે દુબઇ ફરવા જવા સ્કાય ડાઇવિંગ સહિતના 2.78 લાખ પાદરા રોડના એજન્ટ પિતા-પુત્રને આપ્યા હતાં. તે ફરાર થતાં અટલાદરા પોલીસે ગુનો નોંધ્યો છે. બ્લ્યુ બેલ વિસેન્ઝા હાઈડેક ખાતે રહેતા 52 વર્ષીય ગેસ્ટ્રો સર્જન ડૉ.મેહુલ દશરથ અગ્રાવત રેસકોર્સ સર્કલ નજીક સ્વાસ્થય હોસ્પિટલ ચલાવે છે. ઓક્ટોબર-2021માં ભારત-પાક્સિતાનની ટી-20 વર્લ્ડકપની દુબઈ ખાતેેની મેચ જોવા તે મિત્રો સાથે ગયા હતા. ત્યાં રાજીવ હસમુખ પારેખ (રહે, ડોલર્સ એવન્યુ, પાદરા રોડ) આવ્યો હતો. તે કહેતો હતો કે, દુબઈ ટુરિઝમનું કામ કરૂં છું. સેફ્રોન ટાવર ફતેગંજ ખાતે ફ્લાય-24 ટુરિઝમના નામની ઓફિસ છે. ઓફિસ પર મારો દીકરો આર્યન બેસે છે. ડૉ.મેહુલે દીકરો દુબઈમાં છે તેને મળવા અને ફરવા જવા સાથે હોટલ, ગાડી, સ્કાય ડાઈવિંગ સહિત માટે ક્વોટેશન મગાવી રૂ.2.78 લાખ ચૂકવી દીધા હતા. ડિસેમ્બર 2025માં દુબઈ પહોંચ્યા ત્યાં હોટલ બુક થઈ નહોતી. ત્યાં રાજીવ આવ્યો હતો અને કહ્યું હતું કે, મેં જે કંપનીને આર્ડર આપ્યો હતો, તેને ચિટિંગ કર્યું છે. ત્યાં રાજીવે હોટલ બુકિંગ સહિત માટે રૂ.92 હજાર લીધા હતા. જોકે ત્યારબાદ ડૉ.મેહુલે રાજીવનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવતો હતો. રાજીવના પુત્ર આર્યનનો ફોન પણ બંધ થઈ ગયો હતો. ડૉ.મેહુલ રાજીવની ફતેગંજની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ઓફિસને બદલે સ્ટેશનરીની દુકાન મળી આવી હતી. પિતા-પુત્રે રૂ.2.78 લાખની છેતરપિંડી કરતા અટલાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બિલ્ડર, ડૉક્ટર, ઓસ્ટ્રેલિયન ગ્રૂપ સાથે પણ ઠગાઈ કરીરાજીવ પારેખે અગાઉ હરણી વિસ્તારમાં રહેતા બિલ્ડર મહેશ ગઢવી સાથે દુબઈના પેકેજના નામે રૂ.8 લાખથી વધુની ઠગાઈ કરી હતી, ઘટના અંગે વારસીયા પોલીસે ગુનો નોંધ્યો હતો, આ સિવાય સમાના એક ઓર્થોપેડિક ડૉક્ટર સાથે રૂ.6 લાખથી વધુ, નટુભાઈ સર્કલ પાસે સનબિન ટ્રાવેલ્સ ચલાવતા ભરતભાઈના ગ્રાહકો, એક ઈન્ડિયન(ઓસ્ટ્રેલિયન)ગ્રુપ સાથે પણ ઠગાઈ કરાઈ હતી તેમ સુત્રોએ હતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ચૂંટણી બહિષ્કારની ચીમકી:ખોબા ગામના ગ્રામજનોનો હુંકાર, રોડ નહિ તો વોટ નહિ

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ખોબા ગામથી ખપાટીયા સુધીના બિસ્માર રસ્તાને લઇ ગ્રામજનોએ રોડ નહિ તો વોટ નહીં ના બેનર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉંચારી હતી. જોકે માર્ગ અને મકાન પંચાયત વિભાગ ધરમપુરમાંથી મળતી માહિતી મુજબ આશરે 7 કિમીના આ રસ્તો મંજુર થયો છે. જેની કામગીરી પ્રગતિમા છે. અને સ્થળ પર મટીરીયલ પણ સ્ટોક કરવામાં આવ્યો છે. ખોબા ગામના સ્થાનિક ગ્રામજનના જણાવ્યા મુજબ રસ્તો નહિ બનવાથી 108 એમ્બયુલન્સ આવી શકતી નથી. જેને લઇ દર્દીને ખાનગી વાહનમાં ખપાટીયા સુધી લઇ જવું પડતું હોય છે. ચોમાસામાં સ્થિતિ ખરાબ બનતી હોય છે. જેની રજુઆત પણ કરવામાં આવી હતી. છતાં રસ્તો હજુ સુધી નહિ બન્યો હોવાથી ખોબાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું નક્કી કર્યુ છે. બીજી તરફ મળતી માહિતી મુજબ આ રસ્તાની રિસરફેસની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. અને સ્થળ પર જરૂરી મટીરીયલ પહોંચાડી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગરમીના પ્રકોપથી માંડવા નજીક 500 મીટર સુધીનો ડામર પીગળ્યો

નાનાપોંઢા-કપરાડા NH-848 પર ગરમીનો પ્રકોપ માંડવા નજીક 500 મીટર સુધી ડામર પીગળ્યું.ગરમીના ભારે પ્રકોપને કારણે નાનાપોંઢાથી કપરાડા તરફ જતાં નેશનલ હાઈવે નંબર 848 પર માંડવા નજીક આશરે 500 મીટર જેટલા વિસ્તારમાં રસ્તા પરનું ડામર પીગળી જવાની ઘટના સામે આવી છે. આ કારણે રોડ સપાટી ચીકણી બની જતાં વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈક અને લાઈટ વાહનો માટે સ્લીપ થવાનો ભય વધ્યો છે. અમુક સ્થળોએ વાહનો સ્લીપ થવાના નાના બનાવો પણ બન્યા છે. ગરમીના કારણે રસ્તાની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માંગ ઉઠી રહી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને. હાલ સ્થિતિ યથાવત રહી તો અકસ્માતનો ભય વધવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

સિટી એન્કર:ભીરંડીયારા પાસે બેફામ ટ્રેલરે શિક્ષકને કચડ્યા, સાથળમાંથી પગ કપાયો

ભુજ-ખાવડા નેશનલ હાઈવે 341 પર માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોએ વધુ એક નિર્દોષની જિંદગી મુશ્કેલીમાં મૂકી છે. ભીરંડિયારા પાસે ભંડારીવાંઢના બસ સ્ટેશન નજીક ઉભેલા યુવાન સરકારી શિક્ષકને પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા તેમનો જમણો પગ સાથળમાંથી કપાઈ ગયો છે. આ કાળજું કંપાવતી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી છે અને તંત્ર સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.હાલ શિક્ષક સારવાર તળે ભુજની હોસ્પિટલમાં દાખલ છે. ધોરડો પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના સેરા ગામના અને હાલ ભીરંડિયારા ખાતે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અરબાઝ આમિનખાન અન્સારી અને તેમનો નાનો ભાઈ બુરહાનખાન બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શનિવારે સવારે બુરહાનખાન ભીરંડિયારાની ભંડારી વાંઢ પ્રાથમિક શાળાએ જવા માટે બસ સ્ટેન્ડ પાસે બાઇક લઇને ઉભા હતા. આ સમયે ખાવડા તરફથી આવતા ટ્રેલર નંબર GJ 12 CT 9621ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી બુરહાનખાનને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, શિક્ષકનો જમણો પગ સાથળના ભાગેથી કપાઈ ગયો હતો અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં ખસેડાયા છે. ભંડારીવાંઢ પ્રા. શાળામાં ફરજ બજાવતા વિધાસહાયક શિક્ષક બુરહાનખાન અન્સારીના ગંભીર અકસ્માતની જાણ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વસરા, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરતભાઈ પટોડિયા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, વિરલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિત આજુબાજુની પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલના શિક્ષકો જી.કે. જનરલ ખાતે દોડી આવ્યા હતા. અધિકારી અને પદાધિકારીઓએ RMO ડો. જયવીરસિંહ ઝાલાને રૂબરૂ મળી અકસ્માતગ્રસ્ત શિક્ષકને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટે ભલામણ કરી હતી. અને લોહી સહિતની વ્યવસ્થા કરાવી મદદરૂપ થયા હતા. અકસ્માતગ્રસ્ત શિક્ષક 7 મહિના પહેલા કચ્છની ખાસ ભરતીમાં નોકરીએ જોડાયા હોવાનું વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ટોલ ઉઘરાવતી એજન્સીની બેદરકારીસ્થાનીકોના કહેવા પ્રમાણે, નેશનલ હાઈવે પર 1033 હેલ્પલાઇન નંબર માત્ર બોર્ડ પૂરતો સીમિત છે. લોકોની ફરિયાદ છે કે ફોન કરવા છતાં કોઈ ઉપાડતું નથી નિયમ મુજબ ટોલનાકા પર 24 કલાક એમ્બ્યુલન્સ અને ક્રેન તૈયાર રાખવાની હોય છે, પરંતુ અકસ્માત સમયે તેની કોઈ સુવિધા મળતી નથી. ઈજાગ્રસ્તોને 108 ની રાહ જોઈને રસ્તા પર તરફડવું પડે છે. RTO અને પોલીસની નબળી કામગીરીઆ નેશનલ હાઈવે પર લોરીયા, રુદ્રમાતા અને ભીરંડિયારા જેવા વિસ્તારો ડેથ ઝોનમાં ફેરવાઈ ગયા છે. ક્ષમતા કરતા વધુ વજન અને સ્પીડ ધરાવતા વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આરટીઓ અને પોલીસ દ્વારા માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો સામે કડક હાથે કામ લેવાને બદલે આંખ આડા કાન કરવામાં આવે છે. લોકોના ભોગે કેવો વિકાસ ?બન્ની-પચ્છમ વિસ્તારમાં ઉદ્યોગોના કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, પરંતુ તેની સામે સુરક્ષા વ્યવસ્થા શૂન્ય છે. જો તંત્ર આવી જ રીતે ઘોર નિદ્રામાં રહેશે, તો સામાન્ય નાગરિકો અને ખાસ કરીને અપડાઉન કરતા કર્મચારીઓ માટે આ હાઈવે મરણકાંઠો સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

રહીશો પરેશાન:હોસ્પિટલ રોડ પર ભરબપોરથી મોડી રાત સુધી વીજ પુરવઠો ઠપ્પ

શહેરના હોસ્પિટલ રોડ વિસ્તારમાં બપોરના અંદાજે 3 વાગ્યાથી શરૂ થયેલી વીજ પુરવઠાની આવ-જાવ મોડી રાત સુધી યથાવત્ રહી હતી. એક તરફ ઉકળાટભરી ગરમી અને તેમાં પણ વારંવાર લાઇટ જતી-આવતી રહેતા લોકોને અકળામણ થઈ હતી. અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવો અને થોડા સમય બાદ ફરી ચાલુ થવો, ખાસ કરીને હોસ્પિટલ રોડ પર આવેલી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, નાના બાળકો અને તેની સાથે રહેલા પરિવારના સભ્યોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વ્યવસાયમાં અવરોધ ઊભા થવાના કારણે સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો પણ પરેશાન થયા અને ઘણી જગ્યાએ સાધનો પર પણ અસર થઈ હતી. સાથે જ ઝટકાઓને કારણે ઘરગથ્થુ વીજ ઉપકરણોને પણ નુકસાન પહોંચવાની ભીતિ વધી ગઈ હતી. સ્થાનિકોની માંગ છે કે, વીજ વિભાગને ઉકેલ લાવે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં. અંદાજે સાત થી આઠ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા લોકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે માર્ચ મહિનો આવે એટલે બાકી બીલની ઉઘરાણીમાં કડક વલણ દાખવતી વીજ કંપની સેવા આપવામાં ઉણી ઉતરી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

આજે TAT - HSની પરીક્ષા:કચ્છના પરીક્ષાર્થીઓને ફરી અમદાવાદનો ધક્કો; એસટી બસો ફૂલ, ખાનગી બસમાં પણ મુશ્કેલીથી જગ્યા મળી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી TAT-HSની આજની પરીક્ષામાં કચ્છના શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે ફરી એક વાર ઓરમાયું વર્તન કરાયું હોવાની બૂમ ઉઠી છે. કચ્છમાં પરીક્ષા કેન્દ્ર આપવાને બદલે ઉમેદવારોને 400 કિલોમીટર દૂર અમદાવાદ કેન્દ્રો ફાળવાતા પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો છે. અમદાવાદ જવા શનિવારે એસટી બસ ફુલ હોવાથી ખાનગી ટ્રાવેલ્સમાં બે ગણા અને તે પણ ફૂલ થતા નાના વાહનો ભાડે કરીને પરીક્ષાર્થીઓ અમદાવાદ જવા રવાના થયા હતા. ટાટ પરીક્ષાના કેન્દ્રની માગણી માટે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆત કરતા નથી અથવા રજૂઆત કરે તો રજૂઆતને ધ્યાનમાં લેવાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અંતરિયાળ ગામડાઓથી અમદાવાદ પહોંચવા ઉમેદવારોએ 10 થી 12 કલાકની મુસાફરી કરવી પડે છે. લાંબી મુસાફરીને કારણે ઉમેદવારો માનસિક અને શારીરિક રીતે થાકી જાય છે, જેની સીધી અસર પરીક્ષાના પ્રદર્શન પર પડે છે. એક તરફ સરકાર સમાન તકની વાત કરે છે, ત્યારે બીજી તરફ સ્થાનિક કેન્દ્ર ધરાવતા ઉમેદવારોની સરખામણીએ કચ્છના ઉમેદવારોએ આટલા થાક પછી પરીક્ષા આપવી પડે તે કેટલું વ્યાજબી હોવાનું વર્ષોથી ચર્ચાઈ રહ્યું છે. મહિલાઓને સુરક્ષા અને નાના બાળકોની સંભાળ માટે પરિવારના સભ્યો જેવા કે માતા-પિતા, પતિ કે સાસુ-સસરાને સાથે લઈ જવા પડે છે.અમદાવાદ જેવા શહેરોમાં ગેસ્ટ હાઉસના મોંઘા ભાડા અને ભીડ ભાડ વચ્ચે આખા પરિવારને હાલાકી વેઠવી પડી રહી છે. ઉમેદવારોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું વહીવટી તંત્ર પાસે કચ્છમાં એક પરીક્ષા કેન્દ્ર ચલાવવાની પણ ક્ષમતા નથી જો અન્ય જિલ્લાઓમાં કેન્દ્રો ફાળવી શકાતા હોય તો કચ્છ સાથે જ અદેખાઈભર્યું વર્તન કેમ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

જનરલ હોસ્પિટલના તબીબોની સલાહ:ગર્ભાવસ્થા દરમિયાન તબીબ દ્વારા સૂચવ્યા સિવાય કોઈ દવા લેવી નહીં

સલામત માતૃત્વમાં માતા તથા બાળક શારીરિક રીતે સુરક્ષિત રહે એ સાથે માતા માનસિક રીતે પણ તંદુરસ્ત રહે એ પણ એટલું જ આવશ્યક છે એમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ નિમિતે જણાવ્યું હતું. સ્ત્રીરોગ વિભાગના હેડ ડૉ. પ્રફુલ્લાબેન કોટક અને ચાર્મી પાવાણીએ જણાવ્યું કે,આ દિવસ ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ પૂર્વે અને પછી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ અને સાર સંભાળ આપવા માટે ઉજવવામાં આવે છે. તબીબોએ સલામતી માટે સલાહ આપતા જણાવ્યું કે, પ્રથમ તો ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર્સ દ્વારા સૂચવ્યા સિવાય કોઈ દવા લેવી નહીં તેમજ ધુમ્રપાન દારૂ કે કોઈપણ વ્યસનથી દૂર રહેવું જરૂરી છે. આ ઉપરાંત તેમણે આખું અનાજ, ફળ, શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો તેમજ નિયમિત આરોગ્ય તપાસ કરાવવી. તબીબોની સૂચના મુજબ આયર્ન, કેલ્શિયમ, ફોલીક એસીડ વગેરે લેવા સાથે હળવી કસરત સાથે સક્રિય રહેવું જે ગર્ભવસ્થા અને બાળ જન્મના જોખમો ઘટાડવામાં મદદ કરે છે. મ ડો.ધર્મી વેલાણીએ કહ્યું હતું. મનોચિકિત્સક ડો.રિધ્ધિબેન ઠક્કરે કહ્યું કે, પ્રથમ તો માતાએ ખુશ રહેવું જોઈએ કારણકે માતા પોતાની સાથે એક જીવનો પણ ઉછેર કરે છે. જો માતા સહજપણે ખુશ ન રહે તો કાઉન્સેલિંગ લેવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ફરિયાદ:નવસારીમાં રિક્ષામાં મહિલા પેસેન્જરોના દાગીના સેરવતી ટોળકી ઝડપાઇ, મહિલા આરોપી ફરાર

નવસારી જિલ્લામાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી સોનાના દાગીના ચોરી કરતી ટોળકીને નવસારી એલસીબીએ ઝડપી પાડી છે. નવસારી અને બીલીમોરામાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી સોનાની વસ્તુઓ સેરવી લેવાની બે ઘટના બની હતી જેમાં એલસીબી પીઆઇ અને સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે નવસારી રિંગ રોડ રેલવે ગરનાળા પાસેથી એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. જેમાં સવાર સલમાનખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને વિક્રમભાઈ દંતાણી (બન્ને રહે. મહેમદાવાદ, જિ. ખેડા)ની અટક કરી હતી. એલસીબી દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીને આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. તેઓએ મહિલાઓને નિશાન બનાવી ત્રણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આશાબેન ચંદુભાઇ દેવીપૂજક નામની મહિલા આરોપી દાગીના ચોરવામાં મુખ્ય ભૂમિકા હોય વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે સોનાની લગડી, ઓટોરિક્ષા, મોબાઈલ અને રોકડ મળી રૂ. 6.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ટોળકી મહેમદાવાદથી પોતાની રિક્ષાની નંબર પ્લેટ કાઢીને અલગ-અલગ જિલ્લામાં ફરતી હતી. તેઓ ખાસ કરીને બપોર કે સાંજના સમયે એકલી જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં બે આરોપી ઉપર 12 થી વધુ છેતરપિંડીના ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું છે. નવસારી અને બીલીમોરા વિસ્તારમાં બે ગુના ઉકેલાયા પૂછપરછ દરમિયાન તેઓએ નવસારી ટાઉનમાં તા.5 ડિસેમ્બર 2025 ના રોજ અતુલભાઈ રાઠોડની માતાને પારસી હોસ્પિટલ નજીક તિઘરા રોડ પર રિક્ષામાં ગેંગ આવીને રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન રૂ.1.80 લાખ સેરવી લીધી હતી અને બીલીમોરા વિસ્તારમાં 7 માર્ચ 2026ના રોજ ડિમ્પલબેન કેવટ બીલીમોરા સોમનાથ રોડ ગણેશ બેકરી પાસે રીક્ષામાં બેસાડી સોનાનું મંગળસૂત્ર રૂ.1.20 લાખ સેરવી લીધું હતું.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

કાર્યવાહી:ચૂંટણી પૂર્વે નવસારીના શાહુ ગામ પાસે 4 કારમાંથી 30.75 લાખનો દારૂ પકડાયો

નવસારી જિલ્લામાં ચૂંટણી પૂર્વે પ્રોહિબિશન મુદે સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં શાહુ ગામ પાસે ચાર કારમાંથી રૂ. 30.75 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા ભારતમાલા નેશનલ હાઈવે નંબર-4 પર શાહુ ગામ પાસે પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ 4 લક્ઝરી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 11,810 બોટલો રૂ. 30.75 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સાથે 35 લાખની કિંમતના 4 વાહનો મળી રૂ.65,75,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં દારૂ સપ્લાય કરનાર અને વાહન ચાલકો સહિત કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભરત રાજકુમાર (ઉદવાડા, વલસાડ), અંકિત ભંડારી (ખડકીગામ, વલસાડ), અશ્વિન બડુ (દમણ, ભીમપોર), ચાર વાહનોના ડ્રાઈવરો અને દારૂ મંગાવનાર અજાણ્યો શખ્સનો સમાવેશ થાય છે. એસએમસીના પીઆઇ સી.એચ.પનારા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

દુર્ઘટના:જલાલપોરના ચોખડ ગામે પ્લાસ્ટિક થેલી-કપાસના ગોડાઉનમાં આગ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા મરોલી સ્ટેટ હાઇવે પર આવેલા ચોખડ ગામની સીમમાં સોસાયટીની બાજુમાં આવેલા પ્લાસ્ટિક અને કપાસના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ વધુ ભભૂકી ઊઠતા નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ગોડાઉન પાસે જ હલીમા સોસાયટી આવેલી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં પ્લાસ્ટિક અને કપાસના માલને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. જલાલપોર તાલુકાના વેસ્મા પંથકમાં ઘણા સમયથી આગની ઘટના બની રહી છે. જેને લઇ ફાયર બ્રિગેડ દ્વારા કંપનીઓમાં જઇ આગથી કેવી રીતે બચવી જોઇએ તેની તાલીમ પણ આપવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા:ચૂંટણી પૂર્વે નવસારીમાં GSTના દરોડા, બિલ્ડર લોબીમાં ખળભળાટ

નવસારીમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જાણીતા પ્રોજેક્ટ પર જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ શરૂ થતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના જાણીતા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યવહારોમાં મોટાપાયે જીએસટીની ચોરી થઈ હોવાની ગુપ્ત બાતમીના આધારે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રોજેક્ટના સ્થળ અને તેની સાથે સંકળાયેલી કચેરીઓ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ હિસાબી દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં ટેક્સ ચોરી સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની ચકાસણી બાદ ટેક્સ ચોરીના મોટા આંકડાઓ સામે આવવાની પ્રબળ શક્યતા છે. દરોડા દરમિયાન કેટલાંક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આગામી દિવસોમાં તપાસના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.નવસારી જેવા શહેરમાં બિલ્ડર પ્રોજેક્ટ પર જીએસટીના દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ આ તપાસને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ડેટા એનાલિસિસના આધારે આવી કડક કાર્યવાહી તેજ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:નવસારી મહાપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપને‎2 બેઠકની લીડ, હવે 50 બેઠક પર ત્રિપાંખીયો જંગ‎

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નવસારી મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ભાજપનો નો રિપીટ થિયરી અને બંને પક્ષોમાં જોવા મળેલ ‘પરિવારવાદ’ ચર્ચાનો વિષય છે. ગત ટર્મમાં 52માંથી 51 બેઠકો પર ભવ્ય વિજય મેળવનાર ભાજપે આ વખતે આક્રમક વ્યૂહરચના અપનાવી છે. પક્ષે ગત ટર્મના માત્ર 9 નગરસેવકોને ફરી ટિકિટ આપી છે, જ્યારે 42 વર્તમાન નગરસેવકોની ટિકિટ કાપી નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 3, 4, 6, 7, 9 અને 12માં ભાજપે તમામ ઉમેદવારો બદલી નાખ્યા છે. 3થી વધુ વખત ચૂંટણી લડનાર નેતાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. જેમાં જીગીશ શાહ, જગદીશ મોદી, અને છાયાબેન જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. તો આ સાથે જ પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુકેલા વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદી, નવસારી-વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહની સાથે નવસારી-વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ મિનલબેન દેસાઇની પણ ટિકીટ પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. દિગ્ગજોના નામ કપાયા બાદ પણ તેઓએ પોતાના નજીકના અથવા મિત્રોના નામની ભલામણ કરી ટિકિટ મેળવવામાં સફળ થયા હતા. બંને પક્ષોમાં હજી પરિવારવાદનો પવનટિકિટ ફાળવણીમાં આ વખતે પરિવારવાદ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. ભાજપમાં વોર્ડ નં. 6માં પરેશ પટેલના પત્ની રિતાબેન, વોર્ડ નં. 11માં ચંદ્રાબેન ભદોરિયાના પતિ દિલીપસિંહ, વોર્ડ નં. 12મા હસુબેન પટેલ ગત ટર્મમાં નગરસેવિકા તરીકે રહી ચૂક્યા હતા તો આ વખતે તેમના પતિ રાકેશભાઇ પટેલને અને વોર્ડ નં. 13માં જાગૃતિબેન શેઠની પુત્રવધૂ માધ્વી શેઠ તો કોંગ્રેસમાં શહેર પ્રમુખ દિપક બારોટ દ્વારા પણ વોર્ડ નં. 8માં પોતાના પુત્ર મેહુલ બારોટને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપમાં બળવો કરી કર્યો પક્ષપલટોભાજપમાં ટિકિટ ન મળતા નારાજગીના સૂર ઉઠ્યા છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસ ઉઠાવી રહી છે. વોર્ડ નં. 13ના પૂર્વ નગરસેવિકા પ્રિતિબેન અમીને કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને હવે તેઓ વોર્ડ નં. 6માંથી ચૂંટણી લડશે. ભાજપમાંથી નારાજ થયેલા મિરલ પટેલે પણ કોંગ્રેસ તરફથી વોર્ડ નં. 5માં ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસને બે બેઠકોનું નુકસાનકોંગ્રેસે વોર્ડ નંબર 10 અને 11 એમ બંને જગ્યાએથી સંગીતાબેન દિલીપભાઇ પટેલનું ફોર્મ ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જોકે, સંગીતાબેન દ્વારા માત્ર વોર્ડ નંબર 10માં જ ફોર્મ ભરાતા વોર્ડ નંબર 11ની ઓબીસી મહિલા સીટ ખાલી રહી હતી. આ સાથે જ વોર્ડ નંબર 8માં પણ કોંગ્રેસના ઉમેદવાર નર્મદાબેન ટંડેલની તબિયત નાદુરસ્ત થવાને કારણે લેટ થતા તેઓ પણ ફોર્મ ભરી શક્યા ન હતા. વોર્ડ નં. 4 માં ત્રણેય પાર્ટીનું ઘમાસાણવોર્ડ નં. 4 માં ભાજપ-કોંગ્રેસ અને આપએ પોતાના ચારે ચાર ઉમેદવારો ઉતાર્યા છે. આ સાથે જ અપક્ષમાં પણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેથી વોર્ડ નં. 4 માં સૌથી વધુ ઉમેદવાર જોવા મળશે. જે ચૂંટણીમાં મુખ્ય જંગ તરીકે સાબિત થશે. આપને પૂરતા ઉમેદવારો ન મળ્યાનવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જોકે, આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 4 સિવાયના કોઇપણ વોર્ડમાં પૂરતા ઉમેદવારો મળ્યા નથી. વોર્ડ નં. 1, 3, 7, 9 અને 10 માં ફક્ત એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. તો વોર્ડ નં. 8, 12 અને 13 માં બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વધુમાં વોર્ડ નં. 2, 5, 6 અને 11 માં પણ 3 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આમ વોર્ડ નં. 4 ને બાદ કર્યા સિવાય કોઇપણ વોર્ડમાં આપ પાર્ટી પૂરતા ઉમેદવાર ઉતારી શકી નથી.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

વાતાવરણ:પંચ.માં માવઠા બાદ તાપમાનનો પારો 38 ડિગ્રીએ

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ અચાનક ગરમીનો પારો ઉંચકાતા લોકો ગરમીથી પરેશાન થઇ રહ્યા છે. માવઠાને કારણે મળેલી કામચલાઉ ઠંડક બાદ હવે ગરમીમાં થયેલો આ અચાનક વધારો લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યો છે. લોકોને ઉકળાટભરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. માવઠા બાદ પંચમહાલમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. જે માવઠા દરમિયાન તાપમાન 33થી 35 ડિગ્રીની આસપાસ હતું, તે હવે વધીને 36થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વાતાવારણમાં ભેજનું પ્રમાણ ઘટતા અને આકાશ સ્વચ્છ થતા ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. માવઠાના વિરામ બાદ હવે પંચમહાલમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેથી બપોરે રસ્તા પર ચહલ પહલ ઓછી જોવા મળી રહી છે. લોકો ગરમીથી બચવા પંખા, કુલર, એસીનો ઉપયોગ શરૂ કર્યો છે. માવઠા પછી જમીનમાં ભેજ તો વધ્યો છે, પરંતુ તાપમાનમાં થયેલા વધારાથી પાક પર તેની અસર પડી શકે છેે. જેથી ખેડૂતો માટે પણ આ બદલાતું હવામાન ચિંતાજનક બની રહ્યું છે. કાળઝાળ ઉનાળા માટે તૈયાર રહેવુ પડશે ખાનગી હવામાન એક્યુવેધરની સાઇટ મુજબ સોમવાર 12 એપ્રિલથી જિલ્લામાં ગરમીની તીવ્રતા વધશે. તાપમાન 40 ડીગ્રી પર પહોચવાની શક્યતા જણાવી છે. મે મહિનાની શરૂઆત પહેલા જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થવાની શક્યતાથી લોકો કાળઝાળ ઉનાળા માટે તૈયાર રહેવુ પડશે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ગોધરા નગર પાલિકામાં 3 અને શહેરાની 10 બેઠક બિનહરીફ થશે

ગોધરા અને શહેરા પાલીકાની ચૂંટણીમાં છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ઉમેદવારો ઉમટી પડયા હતા. ગોધરા પાલીકામાં 3 સીટ પર ભાજપના ઉમેદવાર સામે ફોર્મ ભરાયા ન હોવાથી 3 બેઠકો બિનહરીફ થશે. જયારે શહેરા પાલીકામાં 10 બેઠકો બિનહરીફ થવાની શકયતાઓ સેવાઇ રહી છે. પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરવા ભારે ધસારો રહ્યો છે. ભારે ધસારાના કારણે ચૂંટણી અધીકારીઓેએ ટોકન આપીને 3 વાગ્યા પછી ફોર્મનો સ્વીકાર કર્યો હતો. ગોધરા અને શહેરા નગર પાલીકામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ વોર્ડની સ્થીતિ સ્ષષ્ટ થઇ છે. ગોધરા નગર પાલીકામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 186 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના 33 ઉમેદવારો, કોગ્રેસના 13, આપ, પાર્ટીના 27 , 1 એઆઇએમઆઇએમનો 1 તથા 78 અપક્ષોએ ફોર્મ ભર્યા છે. નવા સીમાકંન થતા બેઠકોના પ્રકાર બદલાતા તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. ભાજપે 7 વોર્ડના 28 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે. જેમાં 28 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો સામે ફોર્મ ના ભરાતા તેઓ બીનહરીફ થશે તેમ લાગી રહ્યું છે. વોર્ડ 3ની ઓબીસી સીટ પર શ્રુતિબને યાજ્ઞિકકુમાર બારીયા સામે ઓબીસી ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી, વોર્ડ 4 ની એસસી બેઠક પર ભાજપની રૂચિ મનુભાઇ ચૌહાણ ફોર્મ ભર્યુ હતું પણ સામે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુઁ નથી તેવી રીતે વોર્ડ 11 ની સામાન્ય સ્ત્રી બેઠક પર શ્વેતાબેન ધર્મરાજ પુવારે ભાજપમાંથી ફોર્મ ભર્યુ પણ સામે સામાન્ય સ્ત્રી બેઠક અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. જેથી આ વોર્ડ 3,4 અને 11 ની એક એક એક મળીને કુલ 3 બેઠકો બિનહરીફ થઇ હોવાનુ ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યું છે. ભાજપની 28 બેઠકોમાંથી 3 મહિલાઓ બિનહરીફ સત્તાવાર ચૂંટણી અધીકારીએ જાહેરાત કરી નથી. પણ ભાજપે 3 બીનહરીફ થયાની જાહેરાત કરતા ઉમેદવારોના ટેકદારો ફટાકડા ફોડયા છે.હવે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. શહેરા પાલિકાની 10 બેઠકો પર ભાજપ સામે એક પણ ફોર્મ ન ભરાયું શહેરા પાલિકાની 28 સીટ પર 79 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમા ભાજપના 61 ફોર્મ, કોગ્રેસના 15, આપ પાર્ટીના 2 અને અેક અપક્ષે ફોર્મ ભર્યા છે. પાલીકાની કુલ 28 સીટ પર ભાજપે 28 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે.જયારે સામે કોગ્રેસ , આપ અને અપક્ષ મળીને કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભરતા બાકી 10 સીટ પર ભાજપના ઉમેદવારો સામે એક પણ ફોર્મ ભરાયુ નથી. જેથી શહેરા પાલીકાની 28 સીટ પરથી 10 બેઠકો બિનહરીફ થવાની પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે.શહેરા પાલિકામાં વોર્ડ 1માં 4 સીટ, વોર્ડ 2 માં 2 સીટ, વોર્ડ4 માં 2 સીટ, વોર્ડ 5 માં 2 સીટ તથા વોર્ડ 7 માં 2 સીટ મળીને 10 બેઠકો બિનહરીફ થશે.જયારે બેઠક પ્રકાર મુજબ ચકાસણી થશે તો શહેરા પાલીકામાં વધુ બેઠકો બિનહરીફ થવાની શકયતાઓ છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

આયોજન:MSUમાં પહેલીવાર 110 સ્કૂલના આચાર્યોને જીકાસ-યુનિ.ના 80 કોર્સની માહિતી અપાઇ

વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ઇતિહાસમાં પહેલીવાર શહેરની 110 સ્કૂલના આચાર્યોને આમંત્રિત કરાયા હતા. તેમને યુનિવર્સિટી પ્રવેશ માટેની જીકાસ પ્રક્રિયાની માહિતીનો લાઇવ ડેમો અને યુનિવર્સિટીના 80થી વધુ કોર્સિસની માહિતી આપવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી જીકાસ પ્રક્રિયાથી નવા પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ જીકાસ પોર્ટલ પર પ્રવેશ લેતા સમયે મુંઝાય છે. તેથી તેઓ સાઇબર કાફેમાં જઇને નાણાનો વેડફાટ કરતા હોય છે. વિદ્યાર્થીઓ એમએસયુમાં જીકાસથી સરળતાથી પ્રવેશ મેળવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યો અને કમ્પ્યૂટર શિક્ષકોને જીકાસ પોર્ટલ ખોલીને બેચમાં સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જેથી તેઓ સ્કૂલમાં પોતાના વિદ્યાર્થીઓને પણ સામૂહિક રીતે આ પદ્ધતિ સમજાવી શકે. વડોદરા આચાર્ય સંઘના પ્રમુખ ભરત પરમારે કહ્યું કે, આ 110 સ્કૂલોમાં અંદાજે સવા લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કાર્યક્રમથી આટલા વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી પહોંચશે. આચાર્યોએ પણ આવા કાર્યક્રમો યોજાવા જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધો.12 બાદ કરી શકાય તેવા વિવિધ ફેકલ્ટીના 80થી વધુ કોર્સની માહિતી આપવામાં આવી હતી. આ કોર્સિસના નામ જાણીને આચાર્યો સંખ્યાબંધ કોર્સ જાણીને આશ્ચર્યચકિત થયાં હતા. તમામ આચાર્યોને બીકોમ ટેસ્ટની પુસ્તિકા અપાઇઆ વર્ષથી યુનિ.માં બીકોમમાં પ્રવેશ માટે ટેસ્ટ યોજાવાનો છે. આ વિશે કોમર્સના ડીન પ્રો. પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે પણ વિદ્યાર્થીઓ માનસિક રીતે સજ્જ થાય તે માટે આ કાર્યક્રમ દરમિયાન શહેરના 110 આચાર્યોને યુનિ.ના એફવાય બીકોમમાં પ્રવેશ માટે પ્રવેશપરીક્ષાની પુસ્તિકા આપવામાં આવી હતી. આ પુસ્તિકામાં 550 જેટલા પ્રેક્ટિસ માટેના સવાલો અને જવાબો છે.જેમાં રિઝનિંગ, જનરલ નોલેજ અને કોમર્સના સવાલ-જવાબો છે. આચાર્યોને એક સોફ્ટ કોપી પણ અપાઇ હતી. જેથી પોતાની સ્કૂલમાં આ ટેસ્ટની કોપી વિદ્યાર્થીઓને આપી શકે. યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીના ડીને પણ હાજરી આપીઆ કાર્યક્રમ દરમિયાન યુનિ.ના કોર્સિસની માહિતી આપવાની હોવાથી હોમ સાયન્સ, સોશિયલ વર્ક, લો, સાયન્સ, એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીના ડીને પણ હાજરી આપી હતી. સ્કૂલોના આચાર્યોએ કોર્સિસ સંદર્ભે સંલગ્ન ફેકલ્ટીના ડીન પાસેથી જાણકારી મેળવી હતી. ઘણા વિદ્યાર્થીઓ જીકાસ પર પ્રવેશ મેળવ્યા બાદ પ્રવેશ પાકો થઇ ગયો તેવું માને છે પણ કેટલીક ફેકલ્ટીઓમાં ફરીવાર પ્રવેશ પ્રક્રિયા કરવી પડે છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

સરાહનીય કામગીરી:દુર્ઘટનાની તપાસમાં એસટી તંત્રની કમિટીની રચના, પરિવારને રૂા.9 લાખની મદદ કરાઈ

શુક્રવારે બપોરે વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગંજાવર સ્ટ્રકચરનો ભાગ તૂટી પડતાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. હવે આ દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ માટે જીએસઆરટીસી, અમદાવાદ દ્વારા એક તપાસ કમિટી નિમવામાં આવી છે. હવે આ કમિટી દુર્ઘટનાના તમામ પાસાઓનો અભ્યાસ કરીને અહેવાલ આપશે. આ કમિટીને સમાંતરે એફએસએલ, ગેરી અને આરએન્ડબીની ટીમોએ પણ નમૂનાઓ લઇને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે મૃતકના અમદાવાદના ચાંદખેડા સ્થિત નિવાસ સ્થાને સંપર્ક કરતા તેમના પુત્ર સહિતનો પરિવાર વડોદરા આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મૃતક જ પોતાના પરિવારનો એકમાત્ર સહારો હતા. જે હવે ન રહેતા પરિવારની છત્રછાયા જતી રહી છે અને આર્થિક પ્રશ્નો પણ સર્જાય તેવી હાલત છે. આ રજૂઆતને પગલે એસટી ડેપો સંચાલકોએ રૂ. 5.51 લાખની સહાયની જાહેરાત કરી હતી પણ મૃતકના પરિવારની રજૂઆતના પગલે રૂ.9 લાખની સહાય કરવામાં આવી હતી.એટલુ જ નહીં મૃતકના પરિવારનો સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવી છે. મૃતક પીએફનાં નાણાંની તપાસ કરવા આવ્યા હતામૃતક નરસિંહભાઇ દવે અમદાવાદથી વડોદરા પોતાના પીએફના નાણા વિશેની તપાસ માટે આવ્યાં હતા. તેઓ અકોટાની કચેરીએ પહોંચે તે પહેલા જ તેમના પર સેન્ટ્રલ ડેપો ખાતે એક સ્ટ્રકચર પડતાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ તેઓ જ્યોતિષી હતા. તેઓ અગાઉ વડોદરાની કોઇ કંપનીમાં કામ કરતા હતા, જેથી નાણાની તપાસ માટે આવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ:જિલ્લા પંચાયતની 7 અને તાલુકાની 31 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જતાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીઓ ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભીડ ઉમટી પડી હતી. ભુજ તાલુકામાં આવતી કચ્કછ જિલ્ચ્છલા પંચાયતની ભીરંડીયારા, દિનારા, કેરા, કુકમા, માધાપર,નારાણપર પસયાતી અને સુખપર સીટના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોચ્યા હતા. જિલ્લા પંચાયતના ઉમેદરોના ફોર્મ ભુજ ગ્રામ્ય મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ભરાતા હોવાથી ત્યાં કાર્યકરોની ભારે અવરજવર જોવા મળી હતી. જયારે ભુજ તાલુકા પંચાયતની 31 બેઠકો માટે પણ ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે શક્તિ પ્રદર્શન સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી. ખાસ કરીને કોઈ ટેકનિકલ કારણોસર ફોર્મ રદ ન થાય તે માટે મુખ્ય ઉમેદવારોની સાથે ડમી ઉમેદવારોએ પણ સાવચેતીના ભાગરૂપે ફોર્મ ભર્યા હતા. જે અંતર્ગત શપથપત્ર, મિલકતની વિગતો, દરખાસ્ત કરનારની સહી અને પક્ષના અધિકૃત મેન્ડેટ (B અને C ફોર્મ) જેવા મહત્વના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. કચેરીઓની બહાર ર્યકરોની ભીડ, સૂત્રોચ્ચાર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્જાયેલા આ ઉત્સવ જેવા માહોલમાં કાયદાકીય પ્રક્રિયા સાથે રાજકીય પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો, જે સૂચવે છે કે આગામી દિવસોમાં કચ્છનું રાજકારણ વધુ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાલિકામાં 11 વોર્ડની 44 બેઠક માટે ફોર્મ ભરાયા 133; પ્રાંત અને સ્ટેમ્પ અધિકારીની કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા મેળા જેવો માહોલ

ભુજ નગરપાલિકાની તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા ઉમેદવારોના ફેરફારો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયા છે. સામાન્ય રીતે મતદારો પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા નગરસેવકોની કામગીરીને આધારે મતદાન કરતા હોય છે અને નબળું પ્રદર્શન કરનાર ઉમેદવારને મતદારો દ્વારા જાકારો પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે ભાજપે કાર્યક્ષમતા ઉપરાંત સમાજિક સમીકરણો અને રાજકીય ગણિતને વધુ પ્રાથમિકતા આપ્યું હોય એમ દેખાય છે. નગરપાલિકાના કુલ 11 વોર્ડમાંથી ભાજપે આશ્ચર્યજનક રીતે 8 વોર્ડમાં ટિકિટ ફાળવવામાં ફેરફાર કર્યા છે, જેમાં અનેક ઉમેદવારોને પોતાના વોર્ડ સિવાયના વિસ્તારમાંથી ટિકિટ ફાળવવામાં આવી છે. વોર્ડ નંબર 3માં અંબાલાલ પ્રેમજી રાજગોરને ઉમેદવાર બનાવાયા છે, જે તે વોર્ડના રહેવાસી નથી. તેવી જ રીતે વોર્ડ 5માં હિરેન રાઠોડને વોર્ડ 8માંથી લાવીને ટિકિટ અપાઈ છે, જ્યારે નસીમાબેન ઈબ્રાહીમ પઠાણને વોર્ડ 6માંથી બદલીને વોર્ડ 5માં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ 7માં ભાજપે મયંક રૂપારેલને ઉમેદવાર જાહેર કર્યા છે, જે વોર્ડ 9માં રહે છે. અને ગત પાંચ વર્ષ તેમના પત્ની દિપ્તીબેન વોર્ડ નં 9 માં બિનહરીફ થયા હતા. જ્યારે રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા વોર્ડ અન્ય વોર્ડના રહેવાસી છે, પરંતુ તેમને પહેલી વખત વોર્ડ નં 7માં ચૂંટણી લડવા મુકાયા છે. વોર્ડ 10માં હિરેન ઠક્કરને ટિકિટ અપાઈ છે, જે વોર્ડ 5માં રહે છે, અને દિલીપ કાનજી હડિયા વોર્ડ 4માં રહેતા હોવા છતાં દસમા વોર્ડમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ 11માં કમલ ગઢવીને રીપીટ કરવામાં આવ્યા છે, જે અગાઉ વોર્ડ 7માંથી જીત્યા હતા. આ પ્રકારના નાના મોટા કરાયેલા ફેરફારો પાછળ ભાજપની આંતરિક રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં જાતિ આધારિત સમીકરણો અને મતબેંકને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પ્રકારની ‘પેરાશૂટ ઉમેદવારી’ મતદારો સ્વીકારશે ? કોંગ્રેસે પાલિકાની બેઠકો માટેના ઉમેદવારોની યાદી જ બહાર ન પાડીભુજ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટીએ 11 તારીખે સવારે બહાર પાડી અને તાત્કાલિક ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયામાં લાગી ગયા. પરંતુ કોંગ્રેસે તેમના ઉમેદવારોની યાદી કે નામો જ બહાર ન પાડ્યા. અગાઉથી તેમને બીક હતી કે ઉમેદવાર જાહેર કર્યા પછી કદાચ ભાજપ તેમના ઉમેદવારોને આંચકી લે, માટે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા પછી પણ 11 તારીખની મોડી રાત સુધી પક્ષ તરફથી નામો જાહેર નથી કરાયા. વોર્ડ નં.11માં ભાજપની ત્રણ સીટ બિનહરીફની શક્યતાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 11 માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચાર ઉમેદવાર બિંદીયા મેહુલ ઠક્કર, ગીતાબેન અલ્પેશ પટેલ, કમલ પબુભાઈ ગઢવી અને ધર્મેશ સુભાષભાઈ જોશીનું ફોર્મ ભર્યું હતું. એકમાત્ર કમલ ગઢવીની સામે વિશાલ હજુરદાન ગઢવીએ ફોર્મ ભર્યું છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ સમય સુધી અન્ય કોઈ દાવેદારી ન આવતા બિંદીયા મેહુલ ઠક્કર, ગીતાબેન અલ્પેશ પટેલ અને ધર્મેશ સુભાષભાઈ જોશી બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે. ભાજપે 8 વોર્ડમાં ઉમેદવારોની ‘ફેરબદલી’ કરી ભુજ નગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા પ્રાંત અધિકારી અને શહેર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિર્ધારિત સમયમર્યાદા મુજબ ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ 11 એપ્રિલ, શનિવારે સવારે 11 વાગ્યાથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે કચેરીએ પહોંચ્યા હતા. તેમાં સૌથી વધુ ટેકેદારો ભાજપના ઉમેદવારો સાથે જોવા મળી હતી, જે સ્વાભાવિક રાજકીય સક્રિયતા દર્શાવે છે. પ્રાંત અધિકારી અનિલ જાદવની ચેમ્બરમાં ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે બોલાવી તેમની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવી રહી હતી. કચેરી સંકુલની અંદર અને બહાર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ સર્જાયો હતો. પ્રાંત અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી કે બપોરે ત્રણ વાગ્યા સુધી જે ઉમેદવારો સંકુલમાં પ્રવેશી જશે, તેમના તમામ ફોર્મ સ્વીકારવામાં આવશે. આ સૂચનાના આધારે સાંજ સુધી ઉમેદવારી પત્રો સ્વીકારી અને સબમિટ કરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. પ્રક્રિયા દરમિયાન એક સમયે કોંગ્રેસના મહિલા કાર્યકર અને પોલીસ વચ્ચે હલકો વાદવિવાદ થયો હતો, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ સિવાય સમગ્ર ઉમેદવારી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થઈ હતી. જિલ્લા મથક ભુજ ખાતે આ જ રીતે જિલ્લા પંચાયતના ઉમેદવારોએ મામલતદાર, ગ્રામ્યની કચેરીએ તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોએ તાલુકા પંચાયત ભુજ ખાતે ઉમેદવારી પત્રો ભર્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

ઉમેદવારોને લઇને હાઇ વોલ્ટેજ ડ્રામા:ભરૂચ નગર પાલિકાના વોર્ડ- 2માં કોંગ્રેસના મેન્ડેટ પર 4 ઉમેદવારે ફોર્મ ભરતા વિવાદ

ભાસ્કર ન્યૂઝ| ભરૂચ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારોને લઇને હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસે નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા શમસાદઅલી સૈયદ અને આદિવાસી અગ્રણી હેેમેન્દ્ર કોઠીવાલાની જગ્યાએ કુતુબુદ્રીન ઉર્ફે કરણ અને રાજ વસાવાને ટીકીટ આપતાં વિવાદ થયો હતો. શનિવારે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચારેય ઉમેદવારો કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી પત્રો ભરવા માટે તેમના ટેકેદારો સાથે પહોંચી ગયાં હતાં. આખો દિવસની દોડધામ બાદ આખરે શહેર કોંગ્રેસ પ્રમુખે શમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના નામનો સત્તાવાર મેન્ડેટ ચૂંટણી અધિકારીને આપતાં તેમના ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હતાં. ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ ગણાતાં વોર્ડ નંબર-2માં ઉમેદવારોને લઇ હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વોર્ડ -2માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ કુતુબુદ્દીન ઉર્ફે કરન અને રાજ વસાવાની ઉમેદવારી પાર્ટી તરફથી રદ કરી દેવામાં આવી હતી. ચારેય ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ઉમેદવારીપત્રો ભરવા માટે આવ્યાં હતાં. કોંગ્રેસ તરફથી પ્રથમ કરન અને રાજ વસાવાએ કોંગ્રેસ તરફથી તેમની ઉમેદવારી નોંધાવી હતી. મેન્ડેટ શું હોય છે ? ચૂંટણીમાં મેન્ડેટ શબ્દના બે મુખ્ય અર્થ થાય છે.પક્ષનો આદેશ જ્યારે કોઈ રાજકીય પક્ષ કોઈ વ્યક્તિને ચૂંટણી લડવા માટે સત્તાવાર રીતે પસંદ કરે છે, ત્યારે તેને પક્ષનું મેન્ડેટ' મળ્યું એમ કહેવાય. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આ મેન્ડેટ રજૂ કરવું જરૂરી છે. જો તે ન હોય તો ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા-ઈરાન વચ્ચે આજે પણ વાટાઘાટો ચાલુ રહેશે; ગાયિકા આશા ભોંસલે હોસ્પિટલમાં, પાલિકા ચૂંટણી પહેલાં જ સત્તા સંગ્રામ

નમસ્તે, પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર મહત્વની બેઠક યોજાઈ હતી. ઈરાને લેબનોન પર ઈઝરાયેલના હુમલા રોકવાની માંગ કરી છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે 15 વર્ષનો હિસાબ માંગ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જનસભા કરશે. 2. અમિત શાહ પર ટિપ્પણીના મામલામાં રાહુલ ગાંધી પર નોંધાયેલા માનહાનિના કેસમાં યુપીની સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ મિટિંગનો પહેલો રાઉન્ડ પૂરો:2 કલાક ચાલી વાટાઘાટો, ઈરાને લેબનોન પર તાત્કાલિક હુમલા રોકવાની માગ કરી; આવતીકાલે પણ મિટિંગ થઈ શકે છે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ બે કલાક ચાલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને લેબનોન પર ઇઝરાયલી હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી. નિષ્ણાતોએ બેઠકમાં સિક્ટોરિટી, પોલિટિક્સ, મિલિટરી, ફાયનાન્સ અને કાનૂની મુદ્દાઓ પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે યુએસ પક્ષનું નેતૃત્વ કર્યું, જ્યારે સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાની પક્ષનું નેતૃત્વ કર્યું. આ બેઠક આવતીકાલે પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. 47 વર્ષ પહેલાં 1979માં ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી આ પહેલી વાર હતું જ્યારે બંને દેશોના નેતાઓએ આટલા મોટા પાયે સામ-સામે વાતચીત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PMએ કહ્યું - બંગાળની જનતા TMCના ઘમંડને તોડી નાખશે:15 વર્ષનો પુરો હિસાબ લેવાશે; મમતાએ કહ્યું- ભાજપ બંગાળ વિરોધી, તેને ઘરમાં ઘુસવા ન દો PM નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં છે. પૂર્વ બર્ધમાન જિલ્લાના કટવામાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે બંગાળ પરિવર્તન માટે તૈયાર છે. અહીંના મહાન વારસા પર ટીએમસીએ પાપ કર્યું છે કે તેના પર પછાતપણાનો ડાઘ લગાડી દીધો છે. પીએમ મોદીએ કહ્યું કે મમતા બેનર્જી સરકારના 15 વર્ષનો સંપૂર્ણ હિસાબ લેવાશે. મોદીએ કહ્યું- ટીએમસી કહી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે, તો આ યોજના બંધ કરવામાં આવશે, વિશ્વાસ રાખજો, ભાજપ કંઈપણ બંધ કરશે નહીં. ભાજપ તેમની દુકાન બંધ કરશે. તે લૂંટ બંધ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. નીતિશ કુમારે રાજીનામા પહેલાં CM હાઉસ ખાલી કર્યું:7 સર્ક્યુલર રોડ બંગલામાં શિફ્ટ થઈ રહ્યો છે સામાન, લાલુ યાદવના પાડોશી બનશે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામા પહેલાં CM હાઉસ ખાલી કરી રહ્યા છે. 1 અણે માર્ગથી સામાન 7 સર્ક્યુલર રોડ બંગલામાં શિફ્ટ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી આવાસમાંથી ટ્રેક્ટર ટ્રોલીમાં સામાન લઈ જવામાં આવી રહ્યો છે. નીતિશ કુમારે 10 એપ્રિલે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા. સૂત્રોનું માનીએ તો નીતિશ 14 એપ્રિલે CM પદ પરથી રાજીનામું આપી શકે છે. 15 એપ્રિલે બિહારમાં નવી સરકાર બની શકે છે. CM પદ પરથી હટ્યા પછી નીતિશ કુમાર લાલુ યાદવના પાડોશી બની જશે. 7 સર્ક્યુલર રોડ આવાસનો ઉપયોગ હજુ નીતિશ કુમાર જ કરી રહ્યા છે. તેનો CM ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મણિપુરમાં બંગાળના BSF જવાનની ગોળી મારીને હત્યા:ઉખરુલમાં પેટ્રોલિંગ ડ્યુટી પર તહેનાત હતા; અહીં ફેબ્રુઆરીથી હિંસા ચાલુ મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારે પેટ્રોલિંગ ડ્યુટી પર તહેનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોન્સ્ટેબલ મિથુન મંડલને સાંજે લગભગ 4:30 વાગ્યે ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તેમને તરત જ ઇમ્ફાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સાંજે લગભગ 6 વાગ્યે તેનું મોત થયું. અધિકારીઓએ જણાવ્યું કે મિથુન મંડલ પશ્ચિમ બંગાળના ભગજન ટોલા ગામના રહેવાસી હતા અને 170 બટાલિયન BSFમાં તહેનાત હતા. ફેબ્રુઆરીમાં બે સમુદાયો વચ્ચે થયેલી જાતીય અથડામણો બાદ કુકી ગામ મોંગકોટ ચેપુ અને પડોશી તાંગખુલ નાગા વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓ બનતી રહી છે. અહીં ચાલી રહેલા તણાવ વચ્ચે પેટ્રોલિંગ કરી રહેલા BSF જવાન પર આ હુમલો થયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આશા ભોંસલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ:પૌત્રીએ કહ્યું- થાક અને છાતીમાં ઇન્ફેક્શન થયું; પહેલા હાર્ટ એટેકના સમાચાર હતા બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને શનિવારે સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને વધુ પડતો થાક અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ છે. અગાઉ એવી માહિતી આવી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની પૌત્રી જનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- મારા દાદી આશા ભોંસલે, ખૂબ જ થાક અને છાતીના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું બરાબર થઈ જશે. અમે તમને જલ્દી જ સારા સમાચાર આપીશું.. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું:સુરત કલેક્ટર કચેરી ‘રણમેદાન’ બની; ઇટાલિયા સામે મોદી-મોદીના નારા લાગ્યા; પોલીસે મામલો થાળે પાડ્યો સુરતના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો, જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઈલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ ભાજપ અને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. સમગ્ર કલેક્ટર કચેરી જાણે સમરાંગણ બની ગઈ હોય એવો માહોલ ઉભો થઈ ગયો હતો. બન્ને પક્ષે સામ સામા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ખેસ પણ ઝૂંટવવા લાગ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દ. ગુજરાતમાં ભાજપે ખેલ પાડ્યો:નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ, છેલ્લે છેલ્લે 4 ઉમેદવાર બદલી રોષ ઠારવાનો પ્રયાસ, કોંગ્રેસમાં કકળાટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. સવારે 10 વાગ્યાથી ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થતાં જ ભાજપે દક્ષિણ ગુજરાતમાં મોટો ખેલ પાડી દીધો છે. નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. અંતિમ ઘડી સુધી કોંગ્રેસે અમદાવાદ કોર્પોરેશનમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા તો ભાજપે પણ પોતાના 4 ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. જેમાં રાજકોટ, વડોદરામાં એક-એક અને અમદાવાદમાં બે ઉમેદવાર બદલાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કદાવર નેતા સાથે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ:હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબળનું હેલિકોપ્ટર, અજિત પવાર જેવો અકસ્માત ટળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચંદ્રની ઐતિહાસિક સફર કરીને પૃથ્વી પર પરત ફર્યા 4 અવકાશયાત્રી:11.17 લાખ કિમીની મુસાફરી કરી, સવારે પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું NASAનું યાન વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દુબઈથી આવી રહેલા વિમાનનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ:154 મુસાફરો સવાર હતા, કાઠમંડુમાં ખરાબ હવામાનને કારણે મંજુરી મળી નહીં; દોઢ કલાક પછી રવાના થયું વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : ટ્રેન ટિકિટ રિફંડના નિયમો બદલાયા:ધુમાડો નહીં, હવે ટ્રેન વરાળ છોડશે; ટિકિટ કેન્સલેશનથી લઈને બોર્ડિગ સ્ટેશનને લઈને રેલવેમાં 8 મોટા ફેરફારો વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : પંજાબે IPLની આ સીઝનની ત્રીજી મેચ જીતી:હૈદરાબાદ સામે 220 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં ચેઝ કર્યો; પ્રિયાંશ, પ્રભસિમરન અને શ્રેયસની ફિફ્ટી વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : મીન રાશિમાં ગ્રહોના 'રાજકુમાર' બુધની એન્ટ્રી!:વૃષભ રાશિના જાતકો માટે 'શુભ' સફરની શરૂઆત, મિથુન રાશિના લોકોએ નોકરી બદલવાનો વિચાર ટાળવો વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દીવાલ-શટરની વચ્ચે 6 કલાક ફસાયેલો રહ્યો ચોર યુપીના ગાઝિયાબાદમાં ચોરી કરવા ઘૂસેલો ચોર પોતે જ ફસાઈ ગયો. ક્લિનિકમાં ઘૂસતી વખતે તેની ગરદન શટર અને દીવાલની વચ્ચે ફસાઈ ગઈ અને તે 6 કલાક સુધી ત્યાં જ ફસાયેલો રહ્યો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘ભક્તો, રોકો ઇનકો, યે મુઝે પકડકે લે જા રહે હૈ’: આગળ આસારામને લઈ જતી પોલીસ, ને પાછળ સેંકડો ગુંડાઓનાં ટોળાં, જુઓ દિલધડક એપિસોડ-33 2. MATCH મસાલા : હાર્દિક-કૃણાલ વચ્ચે સંબંધો બગડ્યા?:ગિલનું નામ સાંભળતા જ સારા શરમાઈ ગઈ, તારક મેહતાએ કઈ IPL ટીમને સખત ટ્રોલ કરી? 3. પારકી પંચાત : પક્ષપલટુઓને લોલીપોપ, BJPમાં ડખા ચાલુ: EX મેયરને ધક્કા મારી કમલમમાંથી કાઢ્યા; પીઢ નેતાએ ચાવી ભરી ને કાર્યકરોએ ઉપાડો લીધો, જુઓ VIDEO 4. ટોલ પ્લાઝા પર કડક નિયમો લાગુ:FASTag નહીં હોય તો UPIથી આપવો પડશે 1.25 ગણો ચાર્જ, બ્લેકલિસ્ટ ટેગ પર ડબલ ટોલ ચૂકવવો પડશે 5. કેપ્ટન બાબા-એકનાથ શિંદે વચ્ચે 17 વાર કોલ કેમ થયા:CM બદલવા માટે પૂજાનો દાવો કેટલો સાચો, ખરાતનું પોલિટિકલ કનેક્શન 6. ઈલેક્શન એક્સપ્લેનર : સોનિયાએ 9 દિવસ રાહ જોવડાવી, મમતાએ બળવો કર્યો:બંગાળમાં ક્યારેક 39% વોટ મેળવનારી કોંગ્રેસ, 2.9% પર સમેટાઈ; શું જાણીજોઈને હારી રહ્યા છે રાહુલ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: ધન અને કુંભ રાશિ પર ભાગ્યની કૃપા વરસશે, તુલા જાતકોએ લાગણીમાં વહીને નિર્ણય લેવાનું ટાળવું (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 5:00 am

AACAએ સેલિબ્રેટ કરી 35મી એનિવર્સરી:નેશનલ લેવલના મીડિયા ટોક-શોમાં એડવર્ટાઈઝિંગના ટ્રેન્ડ્સ પર ચર્ચા, Gen Zને ધ્યાનમાં રાખી ઘડાઈ રહી છે સ્ટ્રેટેજી

અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોસિએશન (AACA)એ તેની 35મી એનિવર્સરી અનોખી રીતે સેલિબ્રેટ કરી હતી. આ ઉજવણી અંતર્ગત ‘35 યર્સ સેલિબ્રેશન ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ’ અંતર્ગત વર્ષ ભર વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે ગઈકાલે(11 એપ્રિલ, 2026) નેશનલ લેવલનો મીડિયા ટોક-શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના એક્સપર્ટ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે તેમના અનુભવ અને નોલેજ દ્વારા હાજર એડ એજન્સી મેમ્બર્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને, ડિજિટલ એડવર્ટાઈઝિંગના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા ટોક-શોનો મુખ્ય હેતુ મલ્ટીમીડિયા સ્ટ્રેટેજીઆ સેલિબ્રેશન અંગે એસોસિએશનના પ્રેસિડેન્ટ મનીષ ગાંધીએ જણાવ્યું કે, આ ટોક-શોનો મુખ્ય હેતુ એડવર્ટાઈઝિંગ ક્ષેત્રમાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે પ્રિન્ટ, રેડિયો, આઉટડોર એડ, બ્રોડકાસ્ટ અને ડિજિટલની નવી સ્ટ્રેટેજી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આજના યુગમાં માત્ર એક જ મીડિયમ પૂરતું નથી, પરંતુ બ્રાન્ડ અને પ્રોડક્ટના આધારે વિવિધ મીડિયાનો સંયોજન કરીને યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે. મનીષ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોસિએશનને 35 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર વર્ષ દરમિયાન ડિફરન્ટ ઈનિશિએટિવ્સને લઈને સેલ્બ્રિસેશન થતા હોય છે. જે અંતર્ગત આ નેશનલ લેવલનો મીડિયા ટોક-શો યોજાયો હતો. દેશ-વિદેશના એક્સપર્ટ્સની હાજરીઆ ટોક શોમાં પ્રિન્ટ, રેડિયો, આઉટડોર, બ્રોડકાસ્ટ અને ડિજિટલ - ચારેય મીડિયમમાં એડવર્ટાઈઝિંગના પ્લાનિંગની ડિફરન્ટ સ્ટ્રેટેજી માટે દેશ-વિદેશના એક્સપર્ટ્સ મિસ્ટર બસંત રાઠોડ, જયેશ યાજ્ઞિક, યતીશ મહર્ષિ, સંતોષ પાત્રા હાજર રહ્યા હતા. આ તમામના જ્ઞાનનો ગુજરાત અને એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીના એડ એજન્સી મેમ્બરોને લાભ મળે, તે માટે આ ટોક-શો યોજાયો હતો. દરેક મીડિયાના પોઝિટિવ અને ડિફરન્ટ યુસેજ છે, તો કયા મીડિયમને કઈ રીતે યુટિલાઈઝ કરવું પોતાની બ્રાન્ડ-પ્રોડક્ટ સમજીને, તેના માટે ગુજરાતના જાણીતા એડવર્ટાઈઝર્સે ટોક શોમાં માર્ગદર્શન આપ્યું હતું. Gen Zનો વધતો પ્રભાવભારત 24 ન્યૂઝ ચેનલ અને ફર્સ્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના CBO મનોજ જગ્યાસીએ જણાવ્યું હતું કે, આજની ઇવેન્ટ, જે 'અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ' દ્વારા આયોજિત કરવામાં આવી હતી, તેનો મુખ્ય હેતુ તમામ એજન્સી માલિકો અને બ્રાન્ડ કસ્ટોડિયનને એક મંચ પર લાવવાનો હતો. અમે અહીં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને પ્લેટફોર્મ્સ વિશે ચર્ચા કરી કે કેવી રીતે આ માધ્યમો તેમને ઉપયોગી થઈ શકે. 'દરેક માધ્યમની સ્ટોરીટેલિંગ (વાત રજૂ કરવાની) પોતાની એક અલગ રીત હોય છે અને આજે અમે એ જ ચર્ચા કરી કે કયું મીડિયમ બ્રાન્ડ્સ અને એજન્સીઓ માટે શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. 'Gen Z'નો પાવર માત્ર એડવર્ટાઈઝમેન્ટમાં જ નહીં પણ દરેક ક્ષેત્રમાં છે. પહેલાના સમયમાં ઘરના મોટા નિર્ણયો માતા-પિતા લેતા હતા. પરંતુ આજે તમે જુઓ તો ઘરમાં કાર, ટીવી કે ફ્રિઝ લેવા જેવા દરેક નિર્ણયમાં બાળકોનો (Gen Z) મુખ્ય રોલ હોય છે. એટલે જ આજની મોટાભાગની બિઝનેસ સ્ટ્રેટેજી આ પેઢીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે.'

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 12:05 am

ગોતાના 75 વર્ષના વૃદ્ધને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા:મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલો છો કહીને 1.43 કરોડ પડાવ્યા

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક 75 વર્ષીય વૃદ્ધને સાયબર ગઠિયાઓએ TRAI અને CBIના અધિકારી હોવાનો ડોળ કરી સતત 8 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખી ₹1.43 કરોડ પડાવ્યા છે. ગઠિયાઓએ વૃદ્ધના દસ્તાવેજોનો દુરુપયોગ કરી મની લોન્ડરિંગ અને અશ્લીલ વીડિયો મોકલવાના ગુનામાં સંડોવણી હોવાનો ડર બતાવી આ છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?ગત 2 એપ્રિલે વૃદ્ધને TRAIના નામે ફોન આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેમના દસ્તાવેજો પર મુંબઈમાં એક મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થયો છે જેનાથી મહિલાઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવે છે. ત્યારબાદ, મુંબઈ સાયબર ક્રાઈમના ઇન્વેસ્ટિગેશન ઓફિસર 'વિજય ખન્ના' હોવાની ઓળખ આપી એક શખ્સે વીડિયો કોલ કર્યો હતો. તેણે પ્રોટોકોલનું બહાનું ધરી ચહેરો છુપાવી માત્ર એજન્સીનો લોગો બતાવ્યો હતો અને વૃદ્ધને ડરાવવા માટે તેમના આધાર કાર્ડ અને એટીએમ કાર્ડની વિગતો દર્શાવી હતી. એરેસ્ટ ઓર્ડર અને કોર્ટના નકલી પત્રો પણ મોકલ્યાગઠિયાઓએ વૃદ્ધને એવું કહીને ધમકાવ્યા હતા કે નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા 247 એટીએમ કાર્ડમાં તેમનું કેનેરા બેંકનું કાર્ડ પણ સામેલ છે. આ કેસમાં બે કરોડના ટ્રાન્ઝેક્શન બદલ તેમને 10 ટકા કમિશન મળ્યું હોવાનો ખોટો આક્ષેપ કરી ધરપકડની ધમકી આપી હતી. વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ પર બનાવટી FIRની નકલ, એરેસ્ટ ઓર્ડર અને કોર્ટના નકલી પત્રો પણ મોકલી આપવામાં આવ્યા હતા. વૃદ્ધ પાસેથી કટકે-કટકે ₹1.43 કરોડ ટ્રાન્સફર કરાવ્યાડરના માર્યા વૃદ્ધે પોતાની શેરબજારની અને બેંક એકાઉન્ટની તમામ વિગતો આપી દીધી હતી. સાયબર ગઠિયાઓએ આ શેર વેચવા પડશે તેમ કહી વૃદ્ધ પાસેથી કટકે-કટકે કુલ ₹1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આઠ દિવસ બાદ ગઠિયાઓ સાથે સંપર્ક તૂટી જતાં વૃદ્ધે તેમના ભત્રીજાના દીકરાને જાણ કરી હતી, જેનાથી તેઓ ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા હોવાનું બહાર આવ્યું હતું. હાલ સાયબર ક્રાઈમ વિભાગ આ મસમોટી છેતરપિંડીના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 12:05 am

ભાવનગરમાં ભાજપને ટક્કર આપશે કોંગ્રેસના આ ઉમેદવારો:મનપાના 13 વોર્ડમાં કોની સામે કોણ મેદાનમાં ઉતર્યું, જુઓ ફોટા સાથેનું સંપૂર્ણ લિસ્ટ

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં સત્તાધારી ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપે 52 ઉમેદવારો પૈકી માત્ર 9 નગરસવકોને રિપીટ કરી બાકી 45 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે રણનીતિ પૂર્વક ટિકિટ ફાળવણી કરી છે, જેથી કરીને ભાજપના ગઢમાં ગાબડું પાડી શકાય. જુઓ ભાજપ મહાનગરપાલિકાના વોર્ડવાર ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું લિસ્ટ...

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 12:05 am

કોંગ્રેસે સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા, આપને ઉમેદવારોના ફાંફા પડ્યા:ભાવનગર, વડોદરા અને સુરત મનપામાં ચિત્ર ફાઇનલ, ચૂંટણી લડ્યા પહેલા જ 42 સીટ પર ભાજપે ખેલ પાડ્યો

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના રણશિંગા ફૂંકાયા બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે. ભાવનગર, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે છેલ્લી ઘડીએ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસે યાદી બહાર પાડવાને બદલે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આમ આદમી પાર્ટી (આપ) યોગ્ય ઉમેદવારો શોધવામાં સંઘર્ષ કરતી જોવા મળી છે. ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થતાં જ ભાજપે દક્ષિણ ગુજરાતમાં મોટો ખેલ પાડી દીધો છે. નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, જ્યારે કડી નગરપાલિકાની 36માંથી 22 સીટ બિન હરીફ થઈ ગઈ છે. કુલ મળીને રાજ્યમાં 42 સીટ બિન હરીફ થઈ છે. ભાજપે લાંબી મથામણ બાદ યાદી જાહેર કરી તો કોંગ્રેસે સીધા ફોમ ભરાવ્યામહાનગરપાલિકાઓના જંગ માટે બંને મુખ્ય પક્ષોએ જુદી જુદી રણનીતિ અપનાવી છે. ભાજપે લાંબી મથામણ બાદ અંતિમ સમયે ઉમેદવારોના નામની જાહેરાત કરીને સસ્પેન્સનો અંત આણ્યો હતો. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે આ વખતે આંતરિક વિખવાદ ટાળવા માટે સીધા મેન્ડેટ આપવાની પદ્ધતિ અપનાવી હતી. પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને સીધી સૂચના આપી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતા પ્રચારના શ્રીગણેશઆમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પડકારજનક સાબિત થઈ રહી છે. મનપાની ચૂંટણીમાં મજબૂત અને જીતી શકે તેવા ચહેરાઓ શોધવામાં પાર્ટીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે પ્રચારના શ્રીગણેશ થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને વિરોધીઓના મતો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી દિવસોમાં આ મહાનગરોની જનતા કોને મત આપશે તે જોવું રસપ્રદ રહેશે. જુઓ ભાવનગર, સુરત અને વડોદરા મનપાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 12:05 am

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 હજાર ઉમેદવારો નોંધાયા:મનપા 4703, ન.પા. 4958, જિલ્લા-તાલુકા પંચાયતમાં 16,555 ફોર્મ ભરાયા, છેલ્લા દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ

આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાને કારણે રાજ્યભરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. દિવસભર ઉમેદવારો અને તેમના સમર્થકોનો ધસારો નોંધાયો હતો, જેમાં છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા. ખાસ કરીને પક્ષો દ્વારા અંતિમ ક્ષણ સુધી ઉમેદવારોને લઈને ચાલી રહેલા મંથન બાદ ટિકિટ જાહેર થતા ઘણા સ્થળોએ એકસાથે ફોર્મ ભરાવાની દોડ લાગી હતી. પરિણામે મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધી તમામ સ્તરે ભારે પ્રતિસાદ મળ્યો છે અને કુલ 26,216 ઉમેદવારી નોંધાતા આ ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે તે નિશ્ચિત બન્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Apr 2026 12:05 am

ગલીયાવાડા ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો:ગુજરાતમાં નકલી કચેરી અને પોલીસ બાદ હવે મુન્નાભાઈ MBBSની એન્ટ્રી: જૂનાગઢમાં ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો

​ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી કચેરીઓ, નકલી પોલીસ અધિકારીઓ અને નકલી ખાદ્ય સામગ્રી પકડાવાના કિસ્સાઓનો જાણે રાફડો ફાટ્યો છે. રાજ્યમાં ક્યાંક ટોલ નાકા તો ક્યાંક આખી સરકારી કચેરી નકલી ચાલતી હોવાના ચોંકાવનારા ખુલાસાઓ બાદ હવે લોકોના જીવ સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો પણ મેદાનમાં આવ્યા હોય તેમ જણાય છે. ત્યારે જૂનાગઢમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા એક નકલી ડોક્ટરની ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસઓજીને બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગલીયાવાડા ગામમાં એક ઈસમ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે સરકારના પ્રમાણપત્ર વગર પ્રાઈવેટ દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગલીયાવાડા ગામના હુસેની ચોક વિસ્તારમાં આવેલી એહમદી મસ્જિદ બિલ્ડિંગની નીચે ચાલતી એક શંકાસ્પદ દુકાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસને તબીબી જગતને લાંછન લગાડે અને માનવ જીવન સાથે ચેડા કરતા હોય તેવી નકલી ડોક્ટરની કામગીરી સામે આવી હતી. ​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શરીર વલીમામદ સંધાર નામનો પંચાવન વર્ષીય શખ્સ અહીં છેલ્લા કેટલાય સમયથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. આ ઈસમ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી એવી કોઈ પણ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ નહોતું. આમ છતાં, તે પોતાની ઓળખ એક ડોક્ટર તરીકે આપીને ગરીબ અને અજ્ઞાન લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની પાસે સર્ટીની માંગણી કરી ત્યારે તેની પાસે કોઈ આધારભૂત પુરાવા મળી આવ્યા નહોતા. ​દરોડા દરમિયાન પોલીસે તે સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સારવારમાં વપરાતા વિવિધ સાધનો જપ્ત કર્યા છે. કુલ 78 નંગ જેટલી તબીબી સામગ્રી મળીને આશરે નવ હજાર નવસો તોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ નકલી ડોક્ટર માત્ર દવાઓ જ નહીં પરંતુ ડિગ્રી વગર દર્દીઓને ઇન્જેક્શનો પણ આપતો હોવાનું ખુલ્યું છે, જે દર્દીના જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ​પકડાયેલો આરોપી શરીફ સંધાર મૂળ જૂનાગઢની કેમ્બ્રીજ સોસાયટી, યમુના નગર-1 નો રહેવાસી છે. તેની ધરપકડ બાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અલગ અલગ કમલ તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ નકલી ડોક્ટર ક્યારથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને દવાઓ આપી ચુક્યો છે. ​આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ કે.એમ. પટેલ અને પી.એસ.આઈ ડી.કે. સરવૈયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફના મહેન્દ્ર કુવાડીયા અને જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના જવાનો જોડાયા હતા. રાજ્યમાં સતત બહાર આવી રહેલી આ પ્રકારની નકલી પ્રવૃત્તિઓએ સામાન્ય જનતામાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર હાટડીઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં અન્ય કોઈ આવા બોગસ ડોક્ટરો સક્રિય છે કે કેમ તે અંગે પણ પોલીસ સતર્ક બની છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:42 pm

મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, ઉમેદવારી ફોર્મનો ભરાવો:જિલ્લા-તાલુકા પંચાયત માટે મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે કુલ 123 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે 8 તાલુકા પંચાયતની 150 બેઠકો માટે 637 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તાલુકાવાર ઉમેદવારીની વિગતો જોઈએ તો, લુણાવાડામાં 22 બેઠકો માટે 65 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોઠંબામાં 16 બેઠકો માટે 56, કડાણામાં 20 બેઠકો માટે 118 અને ખાનપુરમાં 16 બેઠકો માટે 62 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, ગોધરા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 64 ઉમેદવારોએ, સંતરામપુરમાં 24 બેઠકો માટે 112, બાલાસિનોરમાં 18 બેઠકો માટે 74 અને વિરપુરમાં 18 બેઠકો માટે 86 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં પણ 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:22 pm

મનપા ચૂંટણીમાં યુવા જોશનો શંખનાદ:કોંગ્રેસમાંથી 21 વર્ષના સોહેલ સાયકલવાલા અને 23 વર્ષની અપેક્ષા વૈષ્ણવે મેદાનમાં ઝંપલાવતા રાજકીય ગરમાવો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ આ વખતે અત્યંત રોમાંચક બની રહ્યો છે. શહેરના રાજકીય ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી ઘટનામાં, આ વખતે પ્રસ્થાપિત દિગ્ગજોની સામે કોંગ્રેસમાંથી બે યુવા ચહેરાઓએ મેદાનમાં ઝંપલાવ્યું છે. વૉર્ડ નંબર 26માંથી 23 વર્ષીય અપેક્ષા રતિલાલ વૈષ્ણવ અને વૉર્ડ નંબર 19 માંથી 21 વર્ષીય સોહેલ સાયકલવાલાએ ઉમેદવારી નોંધાવીને સાબિત કરી દીધું છે કે, લોકશાહીના આ પર્વમાં હવે નવી પેઢી નેતૃત્વ લેવા માટે સજ્જ થઈ ચુકી છે. 23 વર્ષની નાની ઉંમરે હિંમત મતદારોમાં ચર્ચાનો વિષય બનીવૉર્ડ નંબર 26 ના ઉમેદવાર અપેક્ષા વૈષ્ણવની વાત કરીએ તો, બી.કોમ. સુધી શિક્ષિત અપેક્ષા પોતાની નિડરતા અને સામાજિક કાર્યો માટે જાણીતી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ગ્રાઉન્ડ લેવલ પર વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને લોકોના પ્રશ્નો વાચા આપી રહ્યા છે. એક મહિલા ઉમેદવાર તરીકે અને ખાસ કરીને 23 વર્ષની નાની ઉંમરે તેમની આ હિંમત મતદારોમાં ચર્ચાનો વિષય બની છે. તેઓ માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો નથી કરતા, પરંતુ વૉર્ડના પાયાના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને શિક્ષણના મુદ્દે લડવા માટે એક જુઝારુ નેતા તરીકે ઉભરી આવ્યા છે. કોર્પોરેશનમાં પારદર્શક વહીવટ લાવવા માટે યુવાનોનો અવાજ ગૃહમાં પહોંચવો અનિવાર્યબીજી તરફ, વોર્ડ નંબર 19માંથી ઉમેદવારી નોંધાવનાર 21 વર્ષીય સોહેલ સાયકલવાલા આ ચૂંટણીના સૌથી યુવા ચહેરાઓમાંના એક છે. સુરત યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી રહેલા સોહેલ પાસે સંગઠનનો બહોળો અનુભવ છે અને તેઓ સુરત કોંગ્રેસના દિગ્ગજ નેતા અસલમ સાયકલ વાળાના પુત્ર છે. લાંબા સમયથી પક્ષની ગતિવિધિઓમાં સક્રિય હોવાને કારણે યુવાનોમાં તેમની મજબૂત પકડ જોવા મળે છે. સોહેલનું માનવું છે કે, કોર્પોરેશનમાં આધુનિક ટેકનોલોજી અને પારદર્શક વહીવટ લાવવા માટે યુવાનોનો અવાજ ગૃહમાં પહોંચવો અનિવાર્ય છે. રાજકીય ગલીયારીઓમાં બદલાવને ખૂબ જ હકારાત્મક ગણાવી રહ્યા છે. સામાન્ય રીતે જે ચૂંટણીઓમાં અનુભવી અને મોટી ઉંમરના નેતાઓનું વર્ચસ્વ રહેતું હોય છે ત્યાં અપેક્ષા અને સોહેલ જેવા ઉમેદવારોની એન્ટ્રીથી પ્રચારની રીત અને મુદ્દાઓ પણ બદલાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:14 pm

જૂનાગઢ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં મન'સુખ'માં છબરડો:લિસ્ટમાં નામ હોવા છતાં મનસુખ વઘેરાને ફોર્મ ન ભરવા દીધું, અનિચ્છાએ બીજા મનસુખભાઈ પાસે ઉમેદવારી કરાવાઈ

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી ભાજપ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને એક મોટો છબરડો સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જિલ્લા પંચાયતની વડાલ બેઠક પર ઉમેદવારી નોંધાવવા ગયેલા પક્ષના નિષ્ઠાવાન કાર્યકર મનસુખભાઈ ડાયાભાઈ વઘેરાને અંતિમ ઘડીએ ફોર્મ ભરતા અટકાવવામાં આવતા કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. યાદીમાં નામ હોવા છતાં કાર્યકરની બાદબાકીમનસુખભાઈ ડાયાભાઈ વઘેરા છેલ્લા 18 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને ચાર ટર્મ સુધી પક્ષના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. પ્રદેશ સ્તરેથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં વડાલ બેઠક માટે તેમનું નામ સ્પષ્ટપણે હોવા છતાં જ્યારે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક સ્તરે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સાથેની મુલાકાત દરમિયાન તેમને જણાવવામાં આવ્યું કે, લિસ્ટમાં નામ ભલે હોય પરંતુ પક્ષ હવે અન્ય મનસુખભાઈ રાણાભાઈ વઘેરાને ટિકિટ આપવા માંગે છે. અનિચ્છાએ અન્ય ઉમેદવારની પસંદગીસ્થાનિક નેતાગીરીએ વડાલ ગામના ભૌગોલિક સમીકરણોનું બહાનું ધરીને મનસુખભાઈ રાણાભાઈ વઘેરાને મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, રાણાભાઈએ ક્યારેય ચૂંટણી લડવાની દાવેદારી કરી નહોતી. મનસુખભાઈ ડાયાભાઈના જણાવ્યા મુજબ, રાણાભાઈએ પોતે સ્વીકાર્યું હતું કે તેમને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી અને જો ડાયાભાઈને ટિકિટ મળતી હોય તો તેઓ ઉમેદવારી કરવા માંગતા નથી આમ છતાં, પક્ષના દબાણવશ તેમની પાસે પરાણે ફોર્મ ભરાવવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યકરોમાં છુપો રોષમનસુખભાઈ ડાયાભાઈએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, પ્રદેશ સ્તરની યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ ફોર્મ ભરતા અટકાવવા તે કાર્યકરના મનોબળને તોડનારી પદ્ધતિ છે. બીજી તરફ રાણાભાઈએ પણ આ ઘટનાને પ્રિન્ટ મિસ્ટેક અથવા સ્થાનિક વગદારોની જીદનું પરિણામ ગણાવ્યું છે. મુખ્ય મુદ્દાઓ જે વિવાદનું કારણ બન્યા:નામનો છબરડો: બંને ઉમેદવારોના નામ 'મનસુખભાઈ' હોવાથી પ્રદેશ યાદી અને સ્થાનિક મેન્ડેટ વચ્ચે ગૂંચવણ ઊભી થઈ.જૂથવાદની શંકા: પ્રદેશ સમિતિએ નક્કી કરેલું નામ સ્થાનિક સ્તરે કેવી રીતે બદલાઈ શકે તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.અનિચ્છા છતાં ઉમેદવારી: જે કાર્યકર લડવા માંગે છે તેનું નામ કપાયું અને જેમને રસ નથી તેમને જબરદસ્તીથી ટિકિટ સોંપાઈ. ભાજપ જેવા શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આ પ્રકારનો છબરડો હવે જિલ્લાના રાજકારણમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં આ ઘટનાને લઈને અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેની અસર આગામી મતદાન પર પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:11 pm

ગોધરામાં 44 બેઠકો માટે 78 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેરામાં 28 બેઠકો માટે માત્ર એક અપક્ષ ઉમેદવાર

પંચમહાલ જિલ્લામાં આગામી નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ગોધરા અને શહેરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 186 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં 78 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે શહેરા નગરપાલિકાની 28 બેઠકો માટે માત્ર એક જ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ગોધરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોની આ મોટી સંખ્યાને કારણે અનેક વોર્ડમાં બહુકોણીય જંગ ખેલાવાની શક્યતા છે, જે ચૂંટણીને રસપ્રદ બનાવશે. ગોધરામાં ભાજપના 33, કોંગ્રેસના 13, AAPના 27, SDPના 1 અને AIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. બીજી તરફ, શહેરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. અહીં ભાજપના 61, કોંગ્રેસના 15 અને AAPના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે અપક્ષ તરીકે માત્ર એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે કુલ 174 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં ભાજપના 69, કોંગ્રેસના 52, AAPના 44, અપક્ષના 8 અને અન્ય 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની કુલ 174 બેઠકો માટે 685 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 291, કોંગ્રેસના 173, AAPના 157 અને અપક્ષના 67 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:41 pm

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ વિવાદ:યાદી વગર ઉમેદવારી, 44 બેઠકો માટે 163 પત્રો; બળવાખોરીનો ભય

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી 2026 એ સ્થાનિક રાજકારણમાં નવો ઇતિહાસ રચ્યો છે. ચૂંટણીમાં મુખ્ય પક્ષ ગણાતા ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ અસાધારણ સ્થિતિને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ગૂંચવણ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક રાજકારણમાં પ્રથમ વખત પક્ષોએ સત્તાવાર જાહેરાત વગર જ ઉમેદવારોને મેદાને ઉતારવાની ફરજ પડી છે. ચૂંટણીના મુખ્ય આંકડાકુલ વોર્ડ: 11 કુલ બેઠકો: 44 કુલ ઉમેદવારી પત્રો: 163 અંતિમ દિવસે ભરાયેલા પત્રો (11 એપ્રિલ): 155 ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલા ટોકન: 153 ભાજપમાં આંતરિક વિખવાદ ભાજપમાં ઉમેદવાર પસંદગીને લઈને ચાલી રહેલો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂથવાદ અને અસંતોષને ડામવા માટે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ વહેલી સવારથી વેરાવળ પહોંચી મોરચો સંભાળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત મોડી રાત્રે જે પેનલો નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ આખરી ઘડીએ ફેરફાર કરવા પડ્યા હતા. ખાસ કરીને પ્રજાપતિ, સિંધી અને ખારવા સમાજમાં ટિકિટ ફાળવણી મુદ્દે જોવા મળેલા રોષે પાર્ટીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શક્તિ પ્રદર્શન બન્યું ‘ફ્લોપ શો’ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જે ભવ્ય આયોજન કર્યું હતું તે આંતરિક ઘર્ષણને કારણે નિષ્ફળ રહ્યું છે. શણગારેલી જીપ્સીઓ અને કાર્યકરોની ભીડ વચ્ચે એકતા દર્શાવવાનો પ્રયાસ વિખેરાઈ ગયો હતો. ઉમેદવારો સમૂહમાં જવાને બદલે અલગ-અલગ ટુકડીઓમાં પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જેનાથી પક્ષની આંતરિક ખેંચતાણ જાહેરમાં આવી ગઈ હતી. કોંગ્રેસમાં પણ સસ્પેન્સ અને અસંતોષકોંગ્રેસની સ્થિતિ પણ ભાજપ જેવી જ જોવા મળી છે. અંતિમ સમય સુધી સત્તાવાર યાદી જાહેર ન થતા કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ટિકિટ કોને મળશે અને કોણ બળવો કરશે તે મુદ્દે પક્ષમાં દિવસભર અટકળોનું બજાર ગરમ રહ્યું હતું. ત્રિપાંખિયા જંગના એંધાણઅત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મનાતી આ લડાઈમાં હવે આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોની સક્રિયતા વધતા જંગ ત્રિપાંખિયો બનવો નિશ્ચિત જણાય છે. 44 બેઠકો સામે 163 ઉમેદવારી પત્રો દર્શાવે છે કે અનેક કાર્યકરોએ પક્ષના આદેશની રાહ જોયા વગર જ દાવેદારી નોંધાવી છે, જે આગામી દિવસોમાં બળવાખોરીના સંકેત આપે છે. વિશ્લેષણ: રાજકીય નિષ્ણાતોના મતે આ ચૂંટણી હવે માત્ર સત્તાની નહીં પણ બંને મુખ્ય પક્ષો માટે ‘પ્રતિષ્ઠાનો જંગ’ બની ગઈ છે. ફોર્મની ચકાસણી બાદ જ સ્પષ્ટ થશે કે મેદાનમાં કેટલા સત્તાવાર ઉમેદવારો અને કેટલા બળવાખોરો બાકી રહે છે. અત્યારની સ્થિતિ જોતા પરિણામો અતાર્કિક અને અનુમાન બહાર હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:38 pm

સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:LCB એ 9 ગુનાનો ભેદ ઉકેલી અમદાવાદ અને ગાંધીનગરના 6 આરોપીને પકડ્યા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સક્રિય પશુ ચોરી કરતી ગેંગનો સાબરકાંઠા LCBએ પર્દાફાશ કર્યો છે. તલોદના ઉજેડીયા-હરસોલ રોડ પર નવા ગામ સ્ટેન્ડ નજીકથી એક બંધ વાહન સાથે છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આપેલી માહિતી મુજબ, આ છ શખ્સો પ્રાંતિજ, તલોદ સહિત અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે બંધ વાહનો લઈને આવતા હતા. તેઓ ઘર આગળ અથવા ખેતરમાં બાંધેલા પશુઓને નિશાન બનાવી ચોરી કરતા હતા. LCBને મળેલી બાતમીના આધારે તલોદ પોલીસ સ્ટેશન હદમાં આવેલા નવા ગામ સ્ટેન્ડ નજીકના પુલના છેડે વોચ ગોઠવવામાં આવી હતી. GJ.13.AB.3683 નંબરના વાહનને રોકી તપાસ કરતા તેમાં છ શખ્સો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ પશુ ચોરી કરવા નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ₹10,000થી વધુના ત્રણ મોબાઈલ ફોન, એક છરો, રસ્સી અને ₹5 લાખની કિંમતનું વાહન જપ્ત કર્યું હતું. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે તલોદ પોલીસ સ્ટેશન મોકલી અપાયા છે. તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના યુવાનોનો સમાવેશ થાય છે: 1. ઈકબાલહુસેન યુસુફભાઈ રીયાઝહુસેન સૈયદ (ઉ.વ.35), અમદાવાદ. 2. ઈરફાન ઉર્ફે ટોળી ઈસ્તીયાકભાઈ બત્તા કુરેશી (ઉ.વ.49), અમદાવાદ અને ગોમતીપુર (મધ્યપ્રદેશ). 3. સાહીલખાન શરીફખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.24), અમદાવાદ. 4. સંજયકુમાર મફાભાઈ ખોડાભાઈ દેવીપુજક (ઉ.વ.30), દહેગામ, ગાંધીનગર. 5. આરીફભાઈ ઉર્ફે કાલુ ફીરોજભાઈ ફજરેદ્દીન સિપાઈ (ઉ.વ.22), દહેગામ, ગાંધીનગર. 6. સદ્દામખાન મોહમદખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.22), અમદાવાદ. આ ગુનામાં અન્ય બે આરોપીઓ મહમદ બિલાલ ઉર્ફે સમીર ઉર્ફે બટકો હનીફભાઈ કુરેશી (અમદાવાદ) અને મુસ્તકિમ ઉર્ફે ખચકો અયુબભાઈ સિપાઈ (દહેગામ, ગાંધીનગર) ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:04 pm

ગોધરાકાંડ બાદ રમખાણના 11 આરોપીને નિર્દોષ છોડતી અમદાવાદ મેટ્રો કોર્ટ:2 હજારના ટોળાને વિખેરવા અશ્રુગોળા અને હવામાં ફાયરિંગ કરાયું હતું

વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. ત્યારે મે, 2002માં અમદાવાદમાં હુલ્લડ મચાવવા બદલ 11 આરોપીઓ સામે માધવપુરા પોલીસ મથકે કેસ નોંધાયો હતો. જેનો અમદાવાદ મેટ્રો કોર્ટે ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન આરોપીનું મૃત્યુ થયું છે. 2000 લોકોનું ટોળું એકઠું થયું હતું ને પથ્થરમારો કર્યો હતોકેસને વિગતે જોતા ગોધરા કાંડ બાદ મે મહિનામાં દિલ્હી દરવાજા અને માધુપુરા ખાતે લઘુમતી કોમ ઉપર ધોસ જમાવવા 2000 જેટલા લોકોનું ટોળું બપોરે એકઠું થયું હતું. જેઓએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ગાડીએ ટોળાને વિખેરવા પ્રયત્ન કર્યો હતો. જેના સપોર્ટમાં અન્ય પોલીસ ફોર્સ પણ આવી ગઈ હતી. તેઓએ અશ્રુવાયુ અને હવામાં ફાયરિંગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. 11 આરોપીને નિર્દોષ છોડતી અમદાવાદ મેટ્રો કોર્ટપોલીસે આ દરમિયાન સાતેક જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે બનાવને 23 વર્ષ જેટલો સમય વીતી જવાથી સાહેદોને સમન્સ મોકલવામાં આવ્યા છતાં તે મળી આવેલો ન હતા. વળી ફરિયાદી PSI પણ ગુજરી ગયા હતા. ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટે 4 સાહેદ અને 4 પુરાવા તપાસીને ત્યારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:01 pm

ટિકિટ ઠુકરાવી પણ વોર્ડ ન બદલાયો:AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ડો. પ્રીતિ સદાદિયાનો કોંગ્રેસમાં પ્રવેશ, આજે વોર્ડ-12માંથી જ ઉમેદવારી નોંધાવતા અનેક સવાલો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં અત્યારે રાજકીય સિદ્ધાંતો અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વચ્ચેની લડાઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વિવાદના કેન્દ્રમાં છે ડો. પ્રીતિ સદાદિયા, જેમણે 'આમ આદમી પાર્ટી' (AAP) એ આપેલી ટિકિટને કર્મભૂમિના નામે ઠુકરાવી દીધી હતી, પરંતુ હવે તે જ વોર્ડમાંથી 'કોંગ્રેસ'ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. શું હતો સમગ્ર વિવાદ?ડો. પ્રીતિ સદાદિયા છેલ્લા 7 વર્ષથી સુરતના વોર્ડ નંબર 7માં સક્રિય હતા. ગત 2021ની ચૂંટણી પણ તેમણે આ જ વોર્ડમાંથી લડી હતી. જોકે, આ વખતે 'આપ' દ્વારા તેમને વોર્ડ નંબર 12 ની ટિકિટ આપવામાં આવતા તેમણે બળવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની મહેનત વોર્ડ નં. 7 માં છે અને અન્ય વોર્ડમાં જવું તેમને મંજૂર નથી. આ મુદ્દે સ્વમાન ઘવાયાનું જણાવી તેમણે 'આપ' માંથી રાજીનામું આપી 10 એપ્રિલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. 'આપ' નો જે વોર્ડ અસ્વીકાર્ય હતો ત્યાં જ ‘કોંગ્રેસ’માંથી ઉમેદવારીરાજકીય પલટી ત્યારે જોવા મળી જ્યારે કોંગ્રેસે પોતાના મેન્ડેડ જાહેર કર્યા. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસે પણ ડો. પ્રીતિને વોર્ડ નંબર 12માંથી જ ઉમેદવાર બનાવ્યા છે. જે વોર્ડમાં લડવા સામે ડો. પ્રીતિને 'આપ' માં વાંધો હતો, તે જ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે હોંશે હોંશે ફોર્મ ભરતા રાજકીય ગલીયારીઓમાં અનેક ચર્ચાઓ જાગી છે. ગુપ્ત રીતે મેન્ડેડની વહેંચણીઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસે આંતરિક વિખવાદ ટાળવા માટે કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નહોતી. તેના બદલે ઉમેદવારોને સીધા ફોન કરીને અથવા રૂબરૂ બોલાવીને મેન્ડેડ સોંપી દેવામાં આવ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસને યોગ્ય ઉમેદવારો ન મળતા હોવાથી જે પણ મજબૂત ચહેરો મળ્યો તેને ટિકિટ આપી પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ડો. પ્રીતિ સદાદિયાનું નિવેદનપોતાના નિર્ણયનો બચાવ કરતા ડો. પ્રીતિએ જણાવ્યું કે: મેં વોર્ડ નં. 7 માં વર્ષો સુધી મહેનત કરી હતી, છતાં 'આપ' દ્વારા તેની અવગણના થતા મારું સ્વાભિમાન ઘવાયું હતું. હું રાહુલ ગાંધીના દરેક સમાજને સાથે લઈને ચાલવાના વિચારોથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ છું. પક્ષે મને વોર્ડ નં. 12ની જવાબદારી સોંપી છે અને મને વિશ્વાસ છે કે જનતા મારા લોકસેવાના કાર્યો જોઈને મને ચોક્કસ વિજયી બનાવશે. વોર્ડ નં. 12નો જંગ બન્યો રસપ્રદહવે આ બેઠક પર લડાઈ ખૂબ જ રસાકસીભરી બની છે. ડો. પ્રીતિ સદાદિયા (કોંગ્રેસ) ની સામે આમ આદમી પાર્ટીએ મિત્તલ બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. ડો. પ્રીતિ માટે સૌથી મોટો પડકાર એ સાબિત કરવાનો રહેશે કે જે વોર્ડમાં તેઓ અગાઉ લડવા તૈયાર નહોતા, હવે તે જ વિસ્તારના મતદારોનો વિશ્વાસ તેઓ કેવી રીતે જીતી શકશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:01 pm

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો:અંતિમ દિવસે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ઉમેદવારી ફોર્મનો રાફડો ફાટ્યો

મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટી તંત્ર પાસે ફોર્મનો મોટો ભરાવો થયો છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ અને મહેસાણા મહાનગરપાલિકાની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવામાં આવી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોની ભારે પડાપડી વચ્ચે ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકા પંચાયતોમાં રસાકસીનો જંગજિલ્લાની 10 તાલુકા પંચાયતો માટે કુલ 716 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં વિજાપુર તાલુકા પંચાયત 100 ફોર્મ સાથે મોખરે છે, જ્યારે મહેસાણા તાલુકા પંચાયતમાં 96 ફોર્મ નોંધાયા છે. અન્ય તાલુકાઓની સ્થિતિ નીચે મુજબ છે. નગરપાલિકાઓમાં 422 ઉમેદવારી પત્રો જમાજિલ્લાની 5 નગરપાલિકાઓમાં કુલ 422 ઉમેદવારી પત્રો જમા થયા છે. આ પૈકી ઊંઝા નગરપાલિકામાં સૌથી વધુ 117 ફોર્મ અને વિસનગરમાં 104 ફોર્મ આવ્યા છે. આ ઉપરાંત વિજાપુરમાં 77, કડીમાં 72 અને બેચરાજી નગરપાલિકા માટે 52 ફોર્મ ભરાયા છે. મહાનગરપાલિકામાં કુલ 171 ઉમેદવારી પત્રો ભરાયાનવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે કુલ 171 ઉમેદવારી પત્રો ભરાયા છે. વોર્ડ મુજબની વિગતોમાં વોર્ડ નંબર 1 થી 5 માં 69 ફોર્મ, વોર્ડ નંબર 6 થી 9 માં 47 ફોર્મ અને વોર્ડ નંબર 10 થી 13 માં 55 ફોર્મનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:59 pm

સાયન્સ સિટી પર શક્તિ આર્કેડ આગ લાગતા અફરાતફરી:ઇલેક્ટ્રિક ડીપીમાં લાગેલી આગ અન્ય બે-ત્રણ ડીપી સુધી ફેલાઈ, એસી યુનિટ્સ ઝપેટમાં આવતા ધડાકા થયા

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા શક્તિ આર્કેડ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિક ડીપીઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. એક ડીપીમાંથી શરૂ થયેલી આગ અન્ય બે-ત્રણ ડીપી સુધી ફેલાતા અને એસી યુનિટ્સ ઝપેટમાં આવતા થયેલા ભડાકાઓને કારણે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જ્વાળાઓ દુકાનો-ઓફિસોના એસી યુનિટ્સ સુધી પહોંચીઘટનાની વિગતો મુજબ, શક્તિ આર્કેડના પાછળના ભાગે આવેલા ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના અન્ય ડીપી પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળાઓ દુકાનો અને ઓફિસોના એસી (AC) યુનિટ્સ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે શ્રેણીબદ્ધ ધડાકાઓ થયા હતા. કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતાઆગને પગલે સમગ્ર કોમ્પ્લેક્સમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જીવ બચાવવા માટે વેપારીઓ અને ગ્રાહકો દુકાનો તેમજ ઓફિસો છોડીને તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બે ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ નહીઆગ ઓલવાઈ ગયા બાદ પણ ઓફિસો અને દુકાનોમાં ભરાયેલા ધુમાડાને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને દૂર કરવા માટે ફાયરની ટીમે એક્ઝોસ્ટ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ઇલેક્ટ્રિક ઉપકરણોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:53 pm

વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ:ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર, ચૂંટણી પહેલા જ સરસાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ દર્શાવી છે. વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણીના મતદાન પહેલા જ આ જીત મળતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિનહરીફ થયેલી બેઠકોની વિગત ભાજપના જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર, કોસંબા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી 4 તાલુકા પંચાયત બેઠકો અને કકવાડી દાંતી બેઠક પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ હરીફ મેદાનમાં ન રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ‘ક્લીન સ્વીપ’નો આત્મવિશ્વાસ ભાજપના આગેવાનોએ આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી નેતૃત્વનો વિજય ગણાવ્યો છે. પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વલસાડ જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ ‘ક્લીન સ્વીપ’ કરશે. વર્ષ 2021ની જેમ 2026માં પણ મોટા માર્જિન સાથે વિજય મેળવી વલસાડને ફરી એકવાર ‘કોંગ્રેસ મુક્ત’ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાનું ચૂંટણી ચિત્ર વલસાડ જિલ્લામાં આગામી સમયમાં વિવિધ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે: જિલ્લા પંચાયત: 36 બેઠકો વાપી મહાનગરપાલિકા: 52 બેઠકો ઉમરગામ નગરપાલિકા: 28 બેઠકો તાલુકા પંચાયત: કુલ 150 બેઠકો (જેમાંથી 5 બેઠકો ભાજપે બિનહરીફ અંકે કરી છે) ચૂંટણીના પરિણામો પહેલા જ 5 બેઠકો જીતીને ભાજપે વિપક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી છે. હવે બાકીની બેઠકો પર મતદારો કોના પક્ષમાં મતદાન કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:52 pm

દંપત્તિ પર ભત્રીજા સહિત ચાર લોકોનો તલવાર-છરી વડે હુમલો:મકાન વેચી બીજે રહેવા જતા રહેવા દબાણ કરતો, દિવાનપરા રોડ પર રહેતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા

ભાવનગર શહેરના દિવાનપરા રોડ વિસ્તારમાં પારિવારિક મિલકતના વિવાદને પગલે દંપતી પર ભત્રીજા સહિત ચાર લોકોએ ઘરમાં ઘુસી તલવાર, પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તલવાર પાઇપ છરી લઈને દંપતી પર હુમલો કર્યોમળતી વિગતો અનુસાર, દિવાનપરા રોડ પર આવેલ પાંજરીગરના ચોકમાં રહેતા અસલમ નસરુલ્લાહ શેખ ઉંમર વર્ષ 57એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેની પત્ની ઝરીના અને પરિવાર અને તેના ભાઈઓના અન્ય લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય જેમાં અસલમના ભાઈનો પુત્ર મહમદ હુસૈન ઈકબાલ હુસૈન શેખ ફરિયાદીને તેનું મકાન વેચી અન્યત્ર રહેવા જતા રહેવા દબાણ કરતો હતો. ચારેય મહિલાઓએ અસલમની પત્ની પણ હુમલો કર્યોપરંતુ ફરિયાદી અસલમ તેને મકાન વેંચતા ન હોય જેને લઈ ગત રાત્રિના સમયે ફરિયાદી અસલમ તથા તેની પત્ની ઝરીના ઘરમાં સુતા હોય એ દરમિયાન અસલમનો ભત્રીજો મહંમદ હુસેન ઈકબાલ હુસેન શેખ, રૂબીના રમીઝભાઈ પઠાણ, જસ્મીન મુસ્તામકિમભાઈ શેખ, સબીયા અલ્ફાજભાઈ દસાડીયા હાથમાં તલવાર પાઇપ છરી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને મહંમદહુસૈનએ તેના કાકા અસલમ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે ચારેય મહિલાઓએ અસલમની પત્ની ઝરીના પર પાઇપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ દરમિયાન અસલમભાઈનો પુત્ર પહોંચી જતા ચારેય વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્તે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવીજ્યારે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સારવાર બાદ અસલમએ મહમદહુસેન ઇકબાલહુસેન શેખ, રુબિનાબને રમીઝભાઈ પઠાણ, જસ્મીનબેન મુસ્તમકીમભાઈ શેખ, સબીયાબેન અલ્ફાઝભાઈ દસાડિયા રહે તમામ ભાવનગરનાઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં BNS કલમ 118(1), 115(2), 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:48 pm

ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને છેતરપિંડી:સાયબર ઠગે કમિશન અને બોનસની લાલચ આપીને યુવક પાસેથી 16 લાખ ખંખેર્યા, વિશ્વાસ કેળવી પૈસા ટ્રાન્સફર કરાવા

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ટીમ લીડર યુવાન સાથે ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરી આપવાના બહાને 16.56 લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ છે. આરોપીઓએ શરૂઆતમાં નાની રકમ પરત આપી યુવકનો વિશ્વાસ કેળવ્યા બાદ બાદ સગાઈ આચરવામાં આવી હતી. ટેલિગ્રામ પરથી મેસેજ આવ્યો ને પાર્ટટાઈમ જોબની ઓફર આપીવડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા મથુરકુમાર મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ. 37) એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સેમસંગ કંપનીમાં ટીમ લીડર તરીકે કામ કરે છે અને પરિવાર સાથે રહે છે. ગત 28 ઓકટોબર, 2025ના રોજ તેમને ટેલિગ્રામ પર “Keerthi” નામના આઈ.ડી. પરથી મેસેજ આવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ આરોપીએ પોતે રિલાયન્સ કંપનીમાં HR તરીકે કામ કરતો હોવાનું જણાવી પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપી હતી. કમિશન અને બોનસની લાલચ આપી આરોપીએ 16 લાખથી વધુની રકમ પડાવીશરૂઆતમાં ના પાડવા છતાં બાદમાં કામ સમજવા માટે તૈયાર થતા તેમને ઓનલાઈન “સ્ટોર મેનેજમેન્ટ” કામ બતાવવામાં આવ્યું હતું. આરોપીઓએ એક ફેક વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પૂર્ણ કરાવવાનું શરૂ કરાવ્યું હતું. શરૂઆતમાં લાઈક અને રેટિંગના ટાસ્ક આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને નાની રકમ તરીકે રૂપિયા 876 તથા કુલ રૂપિયા 41 હજાર પરત આપવામાં આવ્યા હતા. બાદમાં વધુ કમિશન અને બોનસના લોભમાં મોટા ટાસ્ક આપીને અલગ-અલગ બેંક એકાઉન્ટ અને UPI મારફતે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 16.56 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ “રિલાયન્સ ઓનલાઈન વર્ક” નામે ફેક પ્લેટફોર્મ બનાવી આ છેતરપીંડી આચરી હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:47 pm

ભરૂચ: પાલેજ-2 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા:તાલુકા પંચાયત ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપના ખાતામાં

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન, ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-2 બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિનહરીફ વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર ચારુલ કૃણાલ પટેલ આ બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. પાલેજ-2 બેઠક માટે ચારુલ કૃણાલ પટેલે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર અન્ય કોઈ પણ પક્ષ કે અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ દાખલ કરવામાં આવ્યું ન હતું. પરિણામે, ચારુલબેન પટેલને ચૂંટણી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી ભાજપના ખાતામાં એક બેઠકનો ઉમેરો થયો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ જીત વિરોધ પક્ષોની નિષ્ક્રિયતા અને સંગઠનાત્મક કમજોરીનો સંકેત આપે છે, જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે. બીજી તરફ, ભાજપ માટે આ વિજય સ્થાનિક સ્તરે પક્ષના મજબૂત સંગઠન અને અસરકારક વ્યૂહરચનાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ચારુલ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ જીતને પાર્ટીના કાર્યકરોની સખત મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જિલ્લાભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે પાલેજ-2 બેઠકની આ બિનહરીફ જીતે રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓ જગાવી છે અને આગામી ચૂંટણીઓ માટે ભાજપનો ઉત્સાહ વધાર્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:46 pm

રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને શોધી કાઢ્યા:બસ સ્ટેશન પરથી મળેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા અને કેતન અમૃતભાઈ ઘમરને બે નાના બાળકો એકલા મળી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ વાલી-વારસ ન મળતા, જવાનોએ તાત્કાલિક બંને બાળકોને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે બાળકોના વાલીની શોધખોળ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. કણઝરીયા અને હેડ કોન્સ્ટેબલ કે.આર. કરંગીયાને સૂચના આપી હતી. પોલીસે સ્થાનિક નાગરિકોની મદદ અને સંપર્ક સૂત્રો દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને બાળકોની ઓળખ થઈ હતી. તેમાં રાણાવાવના ૩ વર્ષીય આહિલ સુલ્તાન મુલાણી અને ખંભાળિયાના ૪ વર્ષીય અરમાન સિરાજ મિનસારીયાનો સમાવેશ થાય છે. ઓળખ થયા બાદ પોલીસે તુરંત તેમના વાલીઓ સિમરનબેન મુલાણી અને સમરીનબેન મિનસારીયાનો સંપર્ક કર્યો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ બંને બાળકોને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. પોતાના બાળકો પાછા મળતા પરિવારે રાણાવાવ પોલીસનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:44 pm

હિંમતનગરમાં ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા:કેનાલ ફ્રન્ટથી રેલી સ્વરૂપે સેવા સદન પહોંચ્યા, મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ દિવસે હિંમતનગર નગરપાલિકા અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારો હિંમતનગરના કેનાલ ફ્રન્ટ નજીક આવેલી ધારાસભ્યની ઓફિસેથી એકઠા થયા હતા. ધારાસભ્ય અને સાંસદની આગેવાની હેઠળ, તેઓ વિશાળ રેલી સ્વરૂપે સેવા સદન પહોંચ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો નોંધાવ્યા હતા. ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાને કારણે સેવા સદન ખાતે ભારે ભીડ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:43 pm

પંચમહાલમાં 26 એપ્રિલે ચૂંટણી યોજાશે:મતદાર જાગૃતિ માટે શાળાઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરૂ

પંચમહાલ જિલ્લામાં આગામી 26 એપ્રિલ, 2026 (રવિવાર)ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો ભાગ લે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાળાઓમાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિઓમાં રંગોળી સ્પર્ધાઓ, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા અને જાગૃતિ રેલીઓનો સમાવેશ થાય છે. નાના બાળકો તેમના ગામોમાં મતદાન માટેના સંદેશાઓ સાથે રેલીઓ કાઢી ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. નાગરિકો લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગ લઈ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને નિષ્પક્ષ, નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાન માટે સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારીનો ભાવ વિકસે છે અને તેઓ પોતાના માતા-પિતા તથા સમાજને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે, શાળાઓ મતદાર જાગૃતિના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે, જે લોકશાહીના પાયાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:29 pm

મકરબામાં વેપારીનો ફિનાલઈ પી આપઘાતનો પ્રયાસ:પાણી બંધ કરી દુકાન ખાલી કરવા દબાણ કર્યું, બહારથી ટેબલ અંદર મૂકવાનું કહેતા ઝપાઝપી

અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ સમ્મેત પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં અઢી વર્ષથી ભાડે દુકાન ચલાવતા 28 વર્ષીય વેપારી મેહુલ ચૌહાણે સતત માનસિક દબાણથી કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મુકેશ શાહ અને તેમના પુત્ર મિત દ્વારા દુકાન ખાલી કરાવવા માટે આપવામાં આવતી ધમકીઓ અને પજવણીથી વ્યથિત થઈને વેપારીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. હાલ આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે. ટેબલની સાથે તને પણ સળગાવી દઈશઘટનાની વિગતો મુજબ, 10 માર્ચના રોજ સાંજે મુકેશ શાહ અને તેમના પુત્ર મિત મેહુલની દુકાને પહોંચ્યા હતા અને દુકાન બહાર રાખવામાં આવેલા ટેબલ અંદર લેવા બાબતે તકરાર શરૂ કરી હતી. વેપારીએ અન્ય દુકાનોના ઉદાહરણ આપી દલીલ કરતા બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. આ બોલાચાલી બાદ મુકેશ શાહે સોસાયટીના ચેરમેન સાથે વાત કરી દુકાનનું પાણી બંધ કરાવી દીધું હતું. જ્યારે વેપારીએ આ બાબતે વિરોધ કર્યો, ત્યારે બંનેએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને મિત શાહે ટેબલની સાથે તને પણ સળગાવી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીએ કંટાળીને પોતાની જ દુકાનમાં ફિનાઈલ પીધુંવિવાદ વધતા મુકેશ અને મિત શાહે સોસાયટીના સભ્યો સાથે મળીને દુકાન માલિક પર દબાણ લાવી મેહુલને દુકાન ખાલી કરવાની નોટિસ અપાવી હતી. દુકાન માલિકના કહેવા છતાં પણ બંને પક્ષકારો દ્વારા સતત પજવણી ચાલુ રહેતા મેહુલે કંટાળીને પોતાની જ દુકાનમાં ફિનાઈલ પી લીધું હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયતમાં હાલ સુધારો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીસરખેજ પોલીસે વેપારીની ફરિયાદના આધારે મુકેશ શાહ અને મિત શાહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ભાડુઆત વેપારીઓ પર થતા દબાણ અને સ્થાનિક વિવાદોના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:23 pm

ડાંગમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 255 ઉમેદવારી ફોર્મ ભરાયા:ભાજપમાં નારાજગી, પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 255 નામાંકન નોંધાયા છે. આ સાથે ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ઊભી થયેલી નારાજગી અને બળવાખોરીએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર કર્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે 87 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. આહવા તાલુકામાં 38, વઘઈમાં 30 અને સુબીરમાં 19 ફોર્મ ભરાયા છે. ત્રણેય તાલુકા પંચાયતોની કુલ 48 બેઠકો માટે 168 ઉમેદવારી પત્રો નોંધાયા છે. જેમાં આહવામાં 45, વઘઈમાં 55 અને સુબીરમાં 68 ફોર્મ રજૂ થયા છે. ચૂંટણીના આગામી તબક્કા મુજબ, 13 એપ્રિલે તમામ ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ સુધી પોતાના ફોર્મ પરત ખેંચી શકશે, ત્યારબાદ જ વાસ્તવિક ચૂંટણી મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન ભાજપમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી જોવા મળી રહી છે. પક્ષના જૂના અને પ્રભાવશાળી કાર્યકર્તાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. શામગહાન જિલ્લા બેઠક પરથી ટિકિટ ન મળતા કમળીબેન અર્જુનભાઈ ગવળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જે ભાજપ માટે સીધો પડકાર બની શકે છે. બીજી તરફ, શિવારીમાળ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતા પૂર્વ ભાજપ તાલુકા ઉપપ્રમુખ બાળવંત દેશમુખે પક્ષ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ પણ પક્ષપલટો કર્યો હોવાનું જાણવા મળે છે, જેનાથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. જિલ્લાની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપના નેતાઓમાં અસંતોષ અને પક્ષવિમુખતા વધતા, આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિ જોતા ડાંગ જિલ્લામાં આ વખતે ત્રિપાંખિયો અને કટોકટીભર્યો મુકાબલો જોવા મળશે તેવું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:19 pm

શામળાજીમાં 3 જી.પં., 16 તા.પં. બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાયા:પૂર્વ IPS મનોજ નિનામા, નીલા મડિયાએ મંત્રી બરંડાની હાજરીમાં ફોર્મ ભર્યા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે શામળાજી તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પ્રસંગે પૂર્વ IPS મનોજ નિનામા અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ નીલા મડિયા સહિતના અગ્રણીઓએ પણ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. શામળાજી તાલુકાની હાઈ-પ્રોફાઈલ ગણાતી ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી પૂર્વ IPS મનોજ નિનામાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ નીલા મડિયાએ ખેરડી બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. આ બંને ઉમેદવારોએ મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા હતા. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે જિલ્લાના તમામ તાલુકા મથકો પર ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા હતા. શામળાજીમાં ભાજપના તમામ ઉમેદવારો ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર એકઠા થયા હતા. ત્યાંથી તેઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે બે કિલોમીટર લાંબી રેલી યોજીને પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. આ તબક્કે મંત્રી પી.સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:16 pm

ગોધરા પોલીસે દાહોદના વોન્ટેડ આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન ગુનામાં ઘણા સમયથી ફરાર હતો, નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ નામના આ આરોપીને પોલીસે તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ (ઉં.વ. ૩૦) છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. ગોધરા રેન્જ આઈ.જી. વિધી ચૌધરી અને પંચમહાલ એસ.પી. ડૉ. હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશ અંતર્ગત, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.વાય. પટેલ અને પી.એસ.આઈ. એન.પી. સેલોતની ટીમ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝાલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલ હાલ તેના નિવાસસ્થાન ઓરવાડા, બલુપુરા ખાતે હાજર છે. બાતમીના આધારે, પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપી નવીનભાઈ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઈ પટેલને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:13 pm

₹5000 ઇનામી આંતરરાજ્ય વોન્ટેડ આરોપી ગીર સોમનાથમાં ઝડપાયો:ભાણવડના પાછતરડી ગામેથી LCB ટીમે દબોચ્યો, મધ્યપ્રદેશમાં પણ ગુના

ગીર સોમનાથ પોલીસે એક વિશેષ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ₹5000 ના ઇનામી અને આંતરરાજ્ય સ્તરે નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રોહિબિશનના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે. આ કામગીરીના ભાગરૂપે, એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુત અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામેથી અરજન બધાભાઈ મકવાણા (ઉંમર 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત, તે મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના મંડલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં પણ ફરાર હતો. મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ માટે ₹5,000 નું ઇનામ જાહેર કર્યું હતું. આરોપી અરજન મકવાણાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તે અગાઉ પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ભાણવડ પોલીસ સ્ટેશનોમાં વિવિધ પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે રાખવામાં આવ્યો છે. પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય તત્વો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:09 pm

મોરબી કોંગ્રેસ 3 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકી નહીં:52માંથી અધૂરા ફોર્મ, સોગંદનામા કે દાખલાના અભાવે રદ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષ 52 બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારી પત્રો ભરી શક્યો નથી. અધૂરા ફોર્મ, સોગંદનામાનો અભાવ કે જરૂરી દાખલા ન હોવા જેવા કારણોસર આ સ્થિતિ સર્જાઈ હતી. મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6 (સામાન્ય મહિલા બેઠક) પર ઉમેદવારનું ફોર્મ અધૂરું હતું. વોર્ડ નંબર 7 (સામાન્ય મહિલા બેઠક) પર જરૂરી સોગંદનામું ન હતું, જ્યારે વોર્ડ નંબર 12 (ઓબીસી મહિલા અનામત બેઠક) પર ઉમેદવાર પાસે આવશ્યક દાખલો ઉપલબ્ધ ન હતો. આ કારણોસર, કોંગ્રેસ મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી માત્ર 49 બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણીવાર છેલ્લી ઘડીએ ઉમેદવાર નક્કી ન થવા કે જરૂરી દસ્તાવેજોના અભાવે આવી સ્થિતિ સર્જાતી હોય છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:08 pm

'રોડ ટુ હેવન' પર ડ્રોન ઉડાડવા સામે પ્રતિબંધ:વન્યજીવોના રક્ષણ માટે નિર્ણય, વન વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

કચ્છના વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ 'રોડ ટુ હેવન' પર હવે ડ્રોન શૂટિંગ કરવું પ્રવાસીઓ માટે મુશ્કેલી નોતરી શકે છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડી કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ નિર્ણય શા માટે લેવાયો?'રોડ ટુ હેવન' માર્ગની બંને તરફ કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય આવેલું છે. આ વિસ્તાર વિદેશી પક્ષીઓ, ખાસ કરીને ફ્લેમિંગો (હંજ) માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ડ્રોનનો અવાજ અને તેની હિલચાલને કારણે આ પક્ષીઓના કુદરતી રહેઠાણમાં ખલેલ પડે છે અને તેમને નુકસાન થવાની ભીતિ રહેલી છે. પક્ષીઓની સુરક્ષા અને સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ મનાઈ હુકમ લાગુ કર્યો છે. તંત્રની કાર્યવાહી અને સૂચનારાપર ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) રાહુલ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે: સમગ્ર 'રોડ ટુ હેવન' વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધના સાઇન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ પરવાનગી વગર ડ્રોન ઉડાડશે તો તેની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિસ્તારની જૈવવિવિધતા જાળવવામાં સહયોગ આપે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:06 pm

ભાજપના 7 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ:પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ 12ની 4, તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમાં પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની ચાર બેઠકો અને પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદની આ પ્રથમ ચૂંટણી છે. વોર્ડ નંબર 12માં ભાજપે વર્ષાબેન જયેશભાઈ કારાવદરા, મધુબેન સતીષકુમાર જોષી, જયભાઈ રાજશીભાઈ ચૌહાણ અને રણમલભાઈ મેપાભાઈ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ કે અપક્ષ દ્વારા ફોર્મ ન ભરાતા આ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા. ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી અને લાખાભાઈ ભોજાભાઈ ખૂંટીએ આ બેઠકો બિનહરીફ થાય તે માટે પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત, પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં ગોસા સીટ પર લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતર, રાતિયા સીટ પર સંતોકબેન ભોળાભાઈ દાસા અને રોજીવાડા સીટ પર વાલીબેન કેશુભાઈ ઓડેદરાનો સમાવેશ થાય છે. ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતને પગલે જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:04 pm

વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ:ધારાસભ્ય-અધિકારી આમને-સામને, પક્ષપાતના આક્ષેપોથી રાજકીય તણાવ

વેરાવળ પાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું જણાવ્યું છે. જોકે, કોંગ્રેસે આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા તાત્કાલિક ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે ઉમેદવારનું ફોર્મ સ્વીકારવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી વચ્ચે લગભગ અડધો કલાક સુધી તીવ્ર દલીલો થઈ હતી, જેના કારણે સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચૂંટણી અધિકારી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અધિકારી નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે અને ભાજપના એજન્ટની જેમ વર્તન કરી રહ્યા છે. ચુડાસમાએ ઉમેર્યું હતું કે, અધિકારીઓ ભાજપના ઉમેદવાર હોય તેવી રીતે કામગીરી કરી રહ્યા છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે. બીજી તરફ, તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી નિયમાવલિ મુજબ નિયત સમય બાદ આવેલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવું શક્ય નથી. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા નિયમ અનુસાર જ કરવામાં આવી છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની જાહેરાત કરી છે. આ મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતા છે. વેરાવળ શહેરમાં આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:31 pm

મહીસાગર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાજપ, કોંગ્રેસ, AAP સહિત અપક્ષ ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા સેવા સદન અને તાલુકા મથકો પર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. જિલ્લા પંચાયતની ૨૮ અને ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલે મતદાન થશે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની પેટા ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા. મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે ફોર્મની ચકાસણી થશે, ત્યારબાદ કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:18 pm

મહીસાગર જિલ્લામાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:કોલેજોમાં નવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું

મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026માં મતદાનની ટકાવારી મહત્તમ રહે તે માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના સઘન માર્ગદર્શન હેઠળ SVEEP અંતર્ગત યુવા મતદારોને જાગૃત કરવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે, મહીસાગર જિલ્લાની વિવિધ કોલેજોમાં 'યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 18 થી 19 વર્ષની વયના નવા નોંધાયેલા યુવા મતદારો લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા અને પોતાના એક મતનું મૂલ્ય સમજે તે હતો. સંબંધિત અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા ચૂંટણી તંત્રનો હેતુ યુવા વર્ગમાં મતદાન પ્રત્યેની ઉદાસીનતા દૂર કરી તેમને સક્રિય અને જાગૃત મતદાર બનાવવાનો છે. જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ યુવા મતદારોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચૂક મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:15 pm

ગોધરા નગરપાલિકામાં 'આપ'ની એન્ટ્રી:11 વોર્ડમાં 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જિલ્લા મહામંત્રીની વોર્ડ-8માંથી ઉમેદવારી

ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ પ્રવેશ કર્યો છે. પાર્ટીએ તમામ 11 વોર્ડમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકામાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAPની મજબૂત એન્ટ્રીથી સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. આમ આદમી પાર્ટીએ ગોધરાના તમામ 11 વોર્ડમાં પોતાના ઉમેદવારો નોંધાવ્યા છે. કુલ 32 કાર્યકરોએ ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પક્ષના જિલ્લા મહામંત્રી આસિફ હાજી બક્કરે વોર્ડ નંબર 8 માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પાર્ટીની રણનીતિ વિશે માહિતી આપી હતી. આસિફ હાજી બક્કરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગોધરાના તમામ વિસ્તારોને આવરી લેતા 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ 1 થી લઈને 4 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:10 pm

પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાંત્રિપાંખિયો જંગ:ભાજપ, કોંગ્રેસ અને AAP ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન; 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેસરીયા ખેસ, ત્રિરંગા અને ઝાડુના પ્રતીકો સાથે નીકળેલા રેલી સ્વરૂપી કાફલાઓએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્રણેય મુખ્ય પક્ષોએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા પોરબંદરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ: 52 બેઠકો પર જીતનો નિર્ધારભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદને મુખ્ય મુદ્દો બનાવી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. નગરપાલિકાના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો છે કે જનતા વિકાસની રાજનીતિની સાથે છે અને આ વખતે પણ તમામ 52 બેઠકો પર ભગવો લહેરાશે. સંગઠન શક્તિ અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના આધારે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. કોંગ્રેસ: 30 વર્ષના શાસન સામે પરિવર્તનનો નારોબીજી તરફ, કોંગ્રેસે ભાજપના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું કે, ભાજપના આંતરિક જૂથવાદ અને વિખવાદને કારણે પ્રજાના કામો અટવાયા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને નગરપાલિકામાં 100% કોંગ્રેસનું શાસન આવશે. AAP: શિક્ષિત ચહેરાઓ અને ત્રીજો વિકલ્પઆમ આદમી પાર્ટીએ આ વખતે પોરબંદરમાં શિક્ષિત અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને રસાકસી વધારી દીધી છે. જાણીતા શિક્ષણશાસ્ત્રી ડૉ. નૂતન ગોકાણીએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ડૉ. ગોકાણીએ આ પદાર્પણને પોતાની 'અનુભવ ગાથા'ની શરૂઆત ગણાવી હતી. AAP દ્વારા 10 જેટલી પેનલોમાં ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જે પરંપરાગત મતોમાં ગાબડું પાડી ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે. રાજકીય પડકારો અને તકો નગરપાલિકાની આ ચૂંટણીમાં એક તરફ ભાજપ પાસે વિકાસનો મુદ્દો છે, તો બીજી તરફ કોંગ્રેસ શાસન વિરોધી લહેરનો લાભ લેવા મથામણ કરી રહી છે. આ સ્થિતિમાં 'આપ'ના શિક્ષિત ઉમેદવારો કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પ્રજા વિકાસને મત આપશે કે પરિવર્તનને, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:08 pm

ગાંધીનગરના 89 કેન્દ્રો પર 12 એપ્રિલે TAT-HSની પરીક્ષા:854 બ્લોકમાં 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂક

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-HS) આવતીકાલે, 12 એપ્રિલ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લાના 89 કેન્દ્રો પર આયોજિત આ પરીક્ષામાં કુલ 16,618 ઉમેદવારો નોંધાયા છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 854 બ્લોકમાં 16,618 ઉમેદવારો પરીક્ષા આપશેગાંધીનગર જિલ્લામાં પરીક્ષાના સુચારૂ સંચાલન માટે કુલ 854 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધાયેલા કુલ ઉમેદવારોમાં ગુજરાતી માધ્યમના 16,167, અંગ્રેજી માધ્યમના 385 અને હિન્દી માધ્યમના 66 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડાકીય વિગતો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાતી માધ્યમ પ્રત્યેના વિશેષ ઝુકાવને સ્પષ્ટ કરે છે. 89 ઓબ્ઝર્વર્સ સાથે 2 ઝોનલ અધિકારીઓની નિમણૂકપરીક્ષામાં પારદર્શિતા જળવાય અને ગેરરીતિ અટકાવી શકાય તે માટે તમામ 89 કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સુરક્ષા અને સુપરવિઝન માટે 89 સરકારી પ્રતિનિધિઓ અને 89 ઓબ્ઝર્વર્સની સાથે 2 મુખ્ય ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર ડિજિટલ નજર રાખવા માટેની અભેદ્ય કિલ્લેબંધી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, જે હજારો ભાવિ શિક્ષકોની યોગ્યતા નક્કી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:32 pm

રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય:SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક

ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું સંચાલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)ના નાયબ મહાનિદેશક અને IAS અધિકારી ચંદ્રેશ કોટકની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રચંદ્રેશ કોટકને અમદાવાદ જિલ્લાના મહત્વના વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ચૂંટણી નિરીક્ષક તરીકે તેઓ આ બેઠકો પર આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન પર સીધી દેખરેખ રાખશે. પારદર્શક ચૂંટણી માટે જનતા અને ઉમેદવારોનો સંપર્કચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ કટિબદ્ધ છે. ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ માટે રાજકીય પક્ષો, ઉમેદવારો અને સામાન્ય મતદાતાઓ ચૂંટણી નિરીક્ષકનો સંપર્ક કરી શકે છે. સંપર્ક વિગત:ટેલિફોનિક સંપર્ક: 7383016699રૂબરૂ મુલાકાતનું સ્થળ: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), ઇસરો (ISRO) ની સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ. ચૂંટણી નિરીક્ષકની આ નિમણૂકથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વહીવટી પારદર્શિતા વધશે અને મતદારોનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે એવું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:27 pm

સરદાર એસ્ટેટમાં જૂની ઝઘડાની અદાવતમાં ખંજરથી હુમલો:યુવકને પેટ અને છાતીના ભાગે ખંજર ઝિંકનાર આરોપી સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા બાબાદેવના મંદિર પાસે જૂની અદાવતમાં યુવક પર ખંજરથી જીવલેણ હુમલો કરાયો છે. જેના કારણે યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમાધાન થઈ ગયું હોવા છતાં ફરી આરોપીઓએ રાતે ઝઘડો કર્યોપ્રાપ્ત માહિતી મૂળ વતન બાંસવાડા અને હાલમાં લેપ્રેસી ગ્રાઉન્ડ, આજવા રોડ ખાતે રહેતા મેશ દેવા માઈડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સરદાર એસ્ટેટ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મકન પ્રભુ મઈડા સહિત ત્રણ અન્ય શખસો (તમામ હાલ રહેવાસી વડોદરા, મૂળ બાંસવાડા, રાજસ્થાન) તા. 10 એપ્રિલના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે અગાઉ મોબાઇલ બાબતે થયેલા ઝઘડાની અદાવતે ફરી ઝઘડો કર્યો હતો. થયેલા ઝઘડાનું સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપીઓએ રાત્રે ફરી તેમની સાથે ઝઘડો કર્યો હતો. યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતોત્યારબાદ તેઓએ ભેગા મળીને તેમના ભાઈ કાળુ દેવા મઈડાને પકડી રાખ્યા હતા અને મકન મઈડાએ ખંજર વડે છાતી, પેટ, કમર તથા શરીરના અન્ય ભાગોમાં ઘા માર્યા હતા અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી, કાળુ દેવા મઈડા લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. આ બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:18 pm

સુરતની મોડલને 13 વર્ષ સુધી પોતાનો શિકાર બનાવી:વરાછાના યુવકે લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, ધંધાના નામે 79 લાખ પડાવ્યા

સુરતના પોશ અઠવા વિસ્તારમાં રહેતી એક મોડલને લગ્નની ખોટી લાલચ આપી 13 વર્ષ સુધી યૌન શોષણ અને ₹79.40 લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના સંજય ભીંગરાડિયાએ પોતાની અસલી ઓળખ અને લગ્ન જીવન છુપાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા, જે બાબતે ભોગ બનનારે અઠવા પોલીસ મથકમાં આરોપી અને તેના પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતીને ફેક્ટરી માલિકની ઓળખ આપીઘટનાની વિગતો મુજબ, વ્યવસાયે મોડલ એવી યુવતી વર્ષ 2013માં મિત્રો મારફતે સંજય કુમાર ધરમશીભાઈ ભીંગરાડિયાના સંપર્કમાં આવી હતી. સંજયે પોતાની ઓળખ કોપર વાયરની ફેક્ટરીના માલિક તરીકે આપી હતી અને પોતે કુંવારો હોવાનું કહી યુવતીને લગ્નના વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન સંજય યુવતીને સુરતની વિવિધ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો. પીડિતા પાસેથી 79.40 લાખની મત્તા પડાવીછેતરપિંડીના આ જાળમાં સંજયના માતા-પિતા પણ સામેલ હતા, જેમણે પોતાના પુત્રના અગાઉ લગ્ન થઈ ગયા હોવાની હકીકત છુપાવી રાખીને યુવતી સાથે મુલાકાત કરી હતી. શારીરિક શોષણની સાથે સંજયે ધંધામાં મદદના બહાને યુવતી પાસેથી રોકડ અને બેંક ટ્રાન્સફર દ્વારા લાખો રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત સોનાના દાગીના, આઈફોન, એપલ વોચ, લેપટોપ, કેમેરા અને વિદેશી કરન્સી (યુરો) મળી કુલ ₹79.40 લાખની મત્તા પડાવી લીધી હતી. યુવતીએ આરોપી યુવક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવીજ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી ત્યારે સંજય બહાના કાઢીને વાત ટાળતો હતો. અંતે યુવતીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંજય પહેલેથી જ પરિણીત છે. આ સત્ય બહાર આવતા યુવતીએ અઠવા પોલીસમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે સંજય ભીંગરાડિયા, તેની પત્ની અને માતા-પિતા સહિત કુલ પાંચ લોકો સામે બળાત્કાર અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:14 pm

વડાલીના બડોલની સીમમાં ડ્રોનની મદદથી ગાંજાનું ખેતી ઝડપી:SOGએ 20 કિલોથી વધુ ₹10 લાખના ગાંજાના 44 છોડ જપ્ત કર્યા, એકની ધરપકડ

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરમાં છુપાવેલા નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 20.190 કિલોગ્રામ ગાંજો અને 44 છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 10.09 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ડ્રોન સર્વે બાદ કાર્યવાહીજિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે બડોલ ગામની સીમમાં સોમાજી પૂંજાજી મકવાણા નામના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું છે. બાતમીની ચોકસાઈ કરવા માટે પોલીસે પ્રથમ ડ્રોન દ્વારા ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. સર્વેમાં પુષ્ટિ મળ્યા બાદ શુક્રવારે SOG ની ટીમે ખેતરમાં દરોડો પાડ્યો હતો. એકની ધરપકડ, અન્યની શોધખોળ ચાલુપોલીસે સ્થળ પરથી ગાંજાના 44 છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન 20.190 કિલોગ્રામ નોંધાયું છે. આ મામલે પોલીસે બડોલ ગામના જતીન સોમાજી મકવાણાની અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ખેતર માલિક સોમાજી પૂંજાજી મકવાણાને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:12 pm

વોર્ડ-21માં ભાજપમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા:કોંગ્રેસે યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યા, ભાજપ યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ફોર્મ ભરી બળવો પોકાર્યો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને સીધા હાથોહાથ મેન્ડેટ આપી ભાજપને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી છે. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી બળવો કર્યો છે, જ્યારે સોશિયલ મીડિયા પર 'મૂળ સુરતી'ઓને અન્યાય થયાના આક્ષેપો સાથે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. યાદી જાહેર કર્યા વગર 120 બેઠકો પર મેન્ડેટ વહેંચ્યાસુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસે મોટું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. માત્ર 30% ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કર્યા બાદ, બાકીના 70% ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. આ રણનીતિને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, અમે ભાજપની સત્તા અને નાણાંની તાકાત સામે બુદ્ધિથી લડી રહ્યા છીએ. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ ગુપ્ત રાખીને અમે વિરોધીઓને હંફાવ્યા છે. વોર્ડ-21માં ભાજપનો મોટો યુ-ટર્નભાજપે જાહેર કરેલી યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરતા રાજકારણ ગરમાયું છે. વોર્ડ-21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ) માં અગાઉ દીપિકા અંકેશભાઈ ધૂતનું નામ જાહેર કરાયું હતું પરંતુ, જ્ઞાતિગત સમીકરણો નડતા તેમનું પત્તું કપાયું છે. વોર્ડ-21 અને 22 બંનેમાં મહેશ્વરી સમાજના ઉમેદવાર થઈ જતા હોવાથી વિવાદ ટાળવા ભાજપે વરિષ્ઠ કાર્યકર્તા વિમલ ગર્ગના પત્ની સુમન ગર્ગને ટિકિટ આપી છે. હવે આ બેઠક પર અગ્રવાલ સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત કરવામાં આવ્યું છે. યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ ફોર્મ ભરી બળવો પોકાર્યોપાર્ટી દ્વારા અવગણના કરવામાં આવતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ આખરે અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. રાજસ્થાનના જાટ સમાજમાંથી આવતા ચૌધરીએ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટીને હવે સારા માણસની નહીં પણ 'મારા માણસ'ની જરૂર છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં વિપક્ષ પણ તેમની સામે લડવા તૈયાર નહોતો, તેમ છતાં ભાજપે તેમને નજરઅંદાજ કર્યા. આ બળવાને કારણે ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. કોંગ્રેસનો ભણેલા-ગણેલા ઉમેદવારો પર દાવકોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ વખતે દાવો કર્યો છે કે તેમની ટીમમાં વકીલો, એન્જિનિયરો અને ડોક્ટરો જેવા શિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સુરત મેટ્રો સિટી છે અને તેને કટ્ટરવાદના બદલે વિકાસ જોઈએ છે. કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓ, સુરતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ઉધનાવાલાએ પોતે ચૂંટણી ન લડીને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. 'મૂળ સુરતી'ઓને નજરઅંદાજ કરાયાનો આક્ષેપટિકિટ ફાળવણી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપના જૂના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે આ યાદીમાં માત્ર 6 જેટલા મૂળ સુરતીઓને જ સ્થાન મળ્યું છે, જ્યારે અન્યોને પ્રાધાન્ય અપાયું છે. જિલ્લાવાદ અને જ્ઞાતિવાદના નામે ટિકિટ વેચાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ મોટા નેતાએ વિધિવત રાજીનામું આપ્યું નથી, પરંતુ અસંતોષની જ્વાળા સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્ઞાતિગત સમીકરણો અને સુરતનું રાજકારણસુરતની ચૂંટણીમાં હંમેશા જ્ઞાતિવાદ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે ભાજપે જે રીતે છેલ્લી ઘડીએ મહેશ્વરી સમાજની જગ્યાએ અગ્રવાલ સમાજને સ્થાન આપ્યું, તે દર્શાવે છે કે, પાર્ટી એક પણ મતના નુકસાન માટે તૈયાર નથી. બીજી તરફ કોંગ્રેસે તમામ સમાજને સાથે રાખવાની વાત કરી છે, પરંતુ છેલ્લી ઘડીના મેન્ડેટથી કાર્યકરોમાં હજુ પણ કોણ પોતાનું અને કોણ પારકું તે બાબતે મૂંઝવણ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપે ફોર્મ ભરવાની અણીએ જ બે ઉમેદવાર બદલ્યાં, ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત કેસમાં દાદા-દાદીના રોલની તપાસ

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 pm