SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

‘ચક દે ચીકી’ અભિયાન:‘ચક દે ચીકી’ અભિયાન થકી 750 કિલોથી વધુ ચીકીનું વિતરણ કરાયું

ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પોષણ માસની ઉજવણી કરાઈ હતી. જેમાં સંસ્થાના સંચાલક ઋત્વિક પુરોહિત દ્વારા ‘ચક દે ચીકી’ અભિયાન હેઠળ 750 કિલોથી પણ વધુ ચીકીનું વિતરણ કરાયું હતું. ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે, સંસ્થા શહેરમાં પોષણ જાગૃતિ માટે નવીન પહેલો કરવાનું પોતાનું ધ્યેય બનાવી ચૂક્યું છે. પોષણની ઊણપ બાળકોમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. કુપોષણથી બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ પર અસર પડે છે. સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થતાં હોવા છતાં હજી પણ અનેક પરિવારોમાં પૌષ્ટિક આહાર સરળતાથી ઉપલબ્ધ નથી. આ પૃષ્ઠભૂમિમાં ‘ચક દે ચીકી’ જેવી પહેલો સમાજમાં પોષણ વિશે જાગૃતિ વધારવામાં તેમજ જરૂરિયાતમંદોને સીધી સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:03 am

50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ:મનરેગામાં બદલાવથી ગ્રામ સભા અને પંચાયતોના અધિકાર છીનવાયા: કોંગ્રેસ

મનરેગા યોજનામાં સરકારે કરેલા બદલાવ સામે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ધરણા યોજી કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે સરકારે કરેલા બદલાવણા કારણે ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાના નામ અને તેની નીતિઓમાં કેન્દ્ર સરકાર કરેલા બદલાવ સામે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી રહ્યું છે. જે અંતર્ગત શહેરના ગાંધી નગરગૃહ ખાતે કોંગ્રેસે પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગ્રામિણોને રોજગાર આપતા આ કાયદામાં સરકારે મનમાની કરી, ફંડમાં ભારે કપાત કરી છે. નવી જોગવાઈઓ મુજબ ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવાયાના હોવાના આક્ષેપ હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:01 am

મારામારી:ચોખંડી ખાતે સેફ્ટી બેલ્ટના વિતરણ સમયે 2 વાહનની ટક્કરથી મારામારી

શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં સેફટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ સોમવારે સવારે યોજવામાં આવ્યો હતો. ટ્રાફિકથી ધસમસતા રોડ પર બે વાહન ચાલકો વચ્ચે ટક્કર થઇ હતી જેના પગલે કાર્યક્રમની વચ્ચે બંને વાહન ચાલકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ હતી. ઉત્તરાયણના તહેવારોને લઇને કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચોખંડી વિસ્તારમાં ટ્રાફીક વધારે હતો તે સમયે વાહન ચાલકોને રોકીને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન બે વાહન વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. જેથી બંને વાહનના ચાલકો સામ સામે આવી ગયા હતા. વાહનની ટક્કરના કારણે ઝપાઝપી કરતાં વાહન ચાલકોને કોંગ્રેસના કાર્યકરોએ અટકાવ્યા હતા. ટ્રાફિક મેનજમેન્ટના અભાવના કારણે ઘટના બની હતી. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. નજીવી બાબતે સવારના સમયે કામ ધંધે જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સતત 15 મિનિટ સુધી ડ્રામા ચાલ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો પડી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકરોએ ટ્રાફીકને હટાવવાની કામગીરી પણ કરી હતી. કોંગ્રેસ દ્વારા 5 હજાર જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી વાહનચાલકોને બચાવવા સેફટી બેલ્ટનું વિતરણ કરાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે કહ્યું, હવે હું વેનેઝુએલાનો કાર્યકારી રાષ્ટ્રપતિ, ઇસરોનું સર્વેલન્સ સેટેલાઇટ સ્પેસમાં ગુમ; ભારત-જર્મની વચ્ચે વિઝામુક્ત મુસાફરી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત રહ્યા. તેમણે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. બીજા સમાચાર સર્વેલન્સ સેટેલાઇટ લઈને ગયેલા ઇસરો રોકેટના ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના SIR કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. 2. સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું, ભારતથી વધુ કોઈ દેશ મહત્ત્વનો નહીં:કાલે બંને દેશ ટ્રેડ ડીલ વિશે વાત કરશે, ટ્રમ્પના ભારત આવવાનાં પણ અમેરિકન રાજદૂતે એંધાણ આપ્યાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે સોમવારે પદભાર સંભાળી લીધો છે. પોતાના પહેલા સંબોધનની શરૂઆત ગોરે ‘નમસ્તે’ સાથે કરી અને કહ્યું હતું કે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે અહીં હોવું તેમના માટે ગર્વની વાત છે. ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતાને સાચી ગણાવી. તેમણે કહ્યું હતું કે સાચા મિત્રો અસહમત થઈ શકે છે, પરંતુ અંતે હંમેશાં પોતાના મતભેદોને ઉકેલી લે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ISROનું PSLV-C62 રોકેટ રસ્તો ભટક્યું, મિશન ફેલ:ઈસરોએ કહ્યું, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ; અન્વેષા સહિત 15 સેટેલાઇટ લઈને ગયું હતું ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો વર્ષનો પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયો છે. સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C62 રોકેટે અન્વેષા સહિત 15 સેટેલાઈટ લઈને ઉડાન ભરી હતી. ઈસરોના જણાવ્યા મુજબ, મિશનના ત્રીજા સ્ટેજમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને એ રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ચાંદીના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક વધારો:એક જ દિવસમાં રૂ.14,000નો વધારો, સોનાનો ભાવ પણ વધી રૂ.1.40 લાખે પહોંચ્યો; જાણો હજી કેટલા ભાવ વધી શકે સોના-ચાંદીના ભાવ આજે (12 જાન્યુઆરી) ઓલ ટાઈમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,883 રૂપિયા વધીને 1,40,005 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,37,122 રૂપિયા/10g પર હતો. આ પહેલાં 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. જ્યારે એક કિલો ચાંદીની કિંમત 14,475 રૂપિયા વધીને 2,57,283 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે એની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલો હતી. આ પહેલાં 7 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમત 2,48,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર હતી. 4. વેનેઝુએલા પર કબજા પછી ટ્રમ્પનો વધુ એક ધડાકો:પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા, સો.મીડિયા પર પોસ્ટ શેર કરી, જાન્યુઆરીથી પદ સંભાળવાનો ઉલ્લેખ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે. તેમાં ટ્રમ્પની તસવીર સાથે 'એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા' લખેલું છે. પોસ્ટમાં જાન્યુઆરી 2026થી પદ સંભાળવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, ટ્રમ્પે પોતાને અમેરિકાના 45માં અને 47માં રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવ્યા છે. આ પોસ્ટને લઈને વ્હાઇટ હાઉસ કે અમેરિકી પ્રશાસન તરફથી કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. પહેલી પત્ની ઓસ્ટ્રેલિયન, બીજી બનશે આઈરિશ:શિખર ધવને છૂટાછેડાના 3 વર્ષ બાદ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી; સોફી શાઇન અમેરિકન કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શિખર ધવને સોમવારે ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈની જાહેરાત કરી. ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હતા અને મે 2025માં પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. ગયા વર્ષે ધવન અને સોફીને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બંને એક મીડિયા કોન્ક્લેવમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં ધવને ઇશારામાં ફરીથી પ્રેમ મળવાની વાત કહી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અરિહાની આવવાની આશા જાગી, મોદીએ જર્મન ચાન્સેલર સામે મુદ્દો ઉઠાવ્યો:પતંગ મહોત્સવમાં મોદીએ ફિરકી પકડી ને મર્ઝે પતંગ ચગાવ્યો; બંને દેશ વચ્ચે વિઝામુક્ત મુસાફરી PM મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે (12 જાન્યુઆરી) સવારે 9 વાગ્યે PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવી મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. બાદમાં બંને નેતા ગાંધીનગર મહાત્મા મંદિર જવા નીકળ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતમાં 57 વર્ષના આધેડનું 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ:દાદા પૌત્રને ઘરે મુકવા ગયા ને આધેડે પોતાની જ દુકાનમાં બાળકીને શિકાર બનાવી, આરોપીની ધરપકડ સુરતમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 57 વર્ષના આધેડે માત્ર છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પૌત્ર-પૌત્રીને રમાડવા દાદા ઘરની નીચે લઈ ગયા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ રાયસીના હિલ્સ પાસે નવી PM ઓફિસ તૈયાર:અહીં નવું આવાસ પણ બની રહ્યું છે; મોદી આ મહિને શિફ્ટ થઈ શકે છે, બે મુહૂર્ત જોવામાં આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ચીને જમ્મુ-કાશ્મીરની શક્સગામ ઘાટીને પોતાની ગણાવી:કહ્યું- પાકિસ્તાન સુધી રસ્તો પોતાના વિસ્તારમાં બનાવી રહ્યા છે, ભારતે તેને ગેરકાયદેસર કબજો ગણાવ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો યુવતીની હત્યા:બેંગલુરુમાં 18 વર્ષના યુવકે સોફ્ટવેર એન્જિનિયરને મોતને ઘાટ ઉતારી, પાડોશી જ આરોપી નીકળ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ એક-બે કે 100 નહીં અમારી પાસે હજારો સુસાઈડ બોમ્બર તૈયાર:જૈશ-એ-મોહમ્મદ ચીફની ખુલ્લી ધમકી, આતંકી મસૂદ અઝહરની નવી ઓડિયો ક્લિપ વાઇરલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. મોંઘવારીઃ શાકભાજી-દાળના ભાવ વધવાથી ડિસેમ્બરમાં મોંઘવારી વધી:3 મહિનામાં સૌથી વધુ, 1.33% પર પહોંચી, નવેમ્બરમાં 0.71% હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ભવિષ્યઃ 2026માં ગુરુના બેવડા ગોચરનો પ્રભાવ:મિથુન, કર્ક, સિંહ અને ધન સહિત 8 રાશિ નસીબદાર રહેશે, જાણો તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ક્રિકેટઃ ICCએ કહ્યું– બાંગ્લાદેશને ભારતમાં જ T20 વર્લ્ડકપ રમવો પડશે:લોકેશન બદલવાની માગણી ફગાવી; કહ્યું– અમે તપાસ કરી, ભારતમાં કોઈ ખતરો નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પોતે ખોદેલી કબરમાં જ વૃદ્ધને દફનાવવામાં આવ્યા:મોત પહેલા પત્નીની કબરની બાજુમાં બનાવી હતી પોતાની કબર, 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા તેલંગાણાના લક્ષ્મીપુરમ ગામના રહેવાસી નક્કા ઇન્દ્રય્યાનું 80 વર્ષની ઉંમરે 11 જાન્યુઆરીએ અવસાન થયું. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમને તે જ કબરમાં દફનાવવામાં આવ્યા જે તેમણે પોતે બનાવી હતી. તેમનું કહેવું હતું કે દુઃખના સમયે તેમના બાળકોને કોઈ બોજ ન ઉઠાવવો પડે તેથી તેમણે આવું કર્યું. ઇન્દ્રય્યાએ તેને 'આખરી આરામગાહ' નામ આપ્યું હતું અને પત્નીની કબરની બાજુમાં કબર બનાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો તગડો ઓઇલ પ્લાન:પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે, ડોલરને બચાવવા વેનેઝુએલાનો ખેલ પાડ્યો, અમેરિકાની આડોડાઇથી ગુજરાત માથે 3 જોખમ 2. આજનું એક્સપ્લેનર:ત્રીજા સ્ટેજમાં કેવી રીતે નિષ્ફળ ગયું ISROનું રોકેટ લોન્ચ મિશન, 16 સેટેલાઈટ સ્પેસમાં ગુમ; 8 મહિનામાં બીજી વાર આવું ફેલિયર 3. ગરીબ પરિવારમાં જન્મેલો અમદાવાદી આજે કરોડોમાં આળોટે છે:'પપ્પાનું કરંટથી મોત, માતાની કાળી મજૂરી'; પારસ પંડિતે અમદાવાદમાં પત્નીને મહેલ જેવો બંગલો ગિફ્ટમાં આપ્યો 4. વડોદરામાં કોહલીને મળીને રાતોરાત વાઇરલ થયેલો ટેણિયો કોણ?:ચહેરો, આંખ, સ્મિત, હાવભાવ બધું મળતું આવે; જોતાંવેંત વિરાટે કહ્યું, તું તો મારી કાર્બન કોપી લાગે 5. ભલભલા શહેરને આંજી દેતું ગુજરાતનું ગામડું:FDથી બેંક છલોછલ, શેરીએ શેરીએ ભવ્ય બંગલા, દરેક ઘરમાં NRI પરિવાર, આજે જ કેમ ઊજવાય છે ધર્મજ ડે? 6. ગઝનવીએ સોમેશ્વર શિવલિંગના ટુકડા મસ્જિદમાં લગાવ્યા:6 ટન સોનું લૂંટ્યું; નહેરુ સોમનાથ મંદિર બનાવવાના આટલા વિરુદ્ધમાં કેમ હતા 7. દલિતો સાથે રાત્રિભોજન, હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર ફોકસ:બંગાળમાં RSSનો 5 પોઈન્ટર પ્લાન, દરેક હિન્દુના ઘર સુધી હિન્દુત્વ પહોંચાડે BJP કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વૃષભ જાતકોને અટકેલા કાર્યોમાં ગતિ આવશે, કન્યા જાતકોને વેપારમાં ભાગ્યનો સાથ મળશે, મકર જાતકોને બેદરકારીના લીધે નુકસાન થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 5:00 am

દાગીનાની ચોરીનો મામલો આવ્યો સામે:એસટી ડેપો પરથી પૂણેની મહિલાના સોનાના 15 તોલાના દાગીનાની ચોરી

પૂણેથી નણંદના લગ્નમાં વડોદરા આવેલી મહિલાના સોનાના સાડા પંદર તોલા દાગીના સેન્ટ્રલ ડેપોના પ્લેટફોર્મ 10 પરથી ચોરાઈ ગયા હતા. ગઠિયાઓએ ભીડનો લાભ લઈ બસમાં ચડતી મહિલાના પર્સમાંથી દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સોનાના સાડા પંદર તોલાના દાગીનાની પોલીસે માત્ર 70 હજાર જ કિંમત ગણી હતી. પૂણે વેંકટેશ ક્ષિતિજ ખાતે રહેતાં જાગૃતિબેન નિલેશભાઈ પટેલના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પતિ અને દીકરી સાથે 25 ડિસેમ્બરે નણંદના લગ્નમાં વડોદરા આવ્યાં હતાં. લગ્ન 27મીએ હતાં, જેથી તે પ્રસંગ પૂર્ણ કરી જાગૃતિબેન પિયર ખંભાત જવા માગતાં હતાં. તેઓ 28મીએ વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પહોંચ્યાં હતાં. બપોરે 12 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 10 પર પહોંચ્યાં હતાં. બસમાં બેસી ગયા બાદ તેમને જણાયું હતું કે, પર્સમાં મૂકેલું નાનું પાકિટ ગાયબ છે. પાકિટમાં રૂા.70 હજારના સોનાના સાડા પંદર તોલાના દાગીના હતા. સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્લેટફોર્મ પર 50થી વધુ લોકોની ભીડ હતી, પર્સની બે ચેન ખોલી ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોર્યુંહું મારી દીકરી સાથે પ્લેટફોર્મ પર હતી. ખંભાતના પ્લેટફોર્મ પર 50થી વધુ લોકો બસમાં ચડવા જતા હતા. મારા પર્સમાં સાડા પંદર તોલાના દાગીના મૂકેલા હતા. પર્સની મુખ્ય ચેન ખોલી કોઈ ગઠિયાએ દાગીના મૂકેલું પાકિટ ચોરી કરી લીધું હતું. હું બસમાં બેસી ગઈ, ત્યારે મારું પર્સ ખુલ્લું હતું અને પછી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઘણીવાર ચોરી થાય છે, તેમ મને જાણવા મળ્યું હતું. - (જાગૃતિબેન પટેલ સાથે થયેલી વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:59 am

ઝળહળતી સિદ્ધિ:એમ.એસ. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી

એમ.એસ. યુનિવર્સિટીનો ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં દબદબો જોવા મળ્યો હતો. યુનિવર્સિટીએ 10 વર્ષ બાદ બેડમિન્ટનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી છે. સુરત ખાતે ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે 9થી 11 જાન્યુઆરી દરમિયાન ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સ્ટાફ ક્લબ અને ઓલ ગુજરાત સ્ટેટ યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સ એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યની કુલ 12 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક સિદ્ધિ હાંસલ કરી છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 10 વર્ષના લાંબાગાળા બાદ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં એમ.એસ.યુનિવર્સિટીએ ફાઇનલમાં ગૂજરાત વિદ્યાપીઠને હરાવીને ચેમ્પિયન બની હતી. યુનિવર્સિટી માટે ગર્વની વાત એ છે કે, 10 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપ ફરી એમ.એસ.યુનિવર્સિટી જીતી છે. જેમાં પોલિટેક્નિક કોલેજના લેક્ચરર ડૉ.મુકેશ ચાવડા, કોમર્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર ડૉ.ભૂમિત શાહ પ્રથમ સ્થાને રહ્યા હતા. રનર્સ-અપ તરીકે ટેબલ ટેનિસની રમતમાં પણ યુનિવર્સિટીના સ્ટાફે સારું પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં રનર્સ-અપ તરીકે જાહેર થયા હતા. જેમાં રનર્સ-અપ ખેલાડીઓ મેહુલ પટેલ અને પિયુષ ગોહેલ રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટ, ચેસ અને ટેબલ ટેનિસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્રિકેટમાં પણ એમ.એસ. યુનિવર્સિટીની ટીમે લડાયક પ્રદર્શન કરી સેમિ ફાઇનલ સુધીની સફર ખેડી હતી. યુનિવર્સિટીમાં કર્મચારીએ સ્પેશિયલ કેમ્પ થકી વિવિધ રમતોની ટ્રેનિંગ લીધીયુનિવર્સિટીના કર્મચારીઓએ સ્પેશિયલ કેમ્પ કર્યો હતો જેમાં વિવિધ રમતો માટે ટ્રેનિંગ લેવામાં આવી હતી. ઓલ ગુજરાત સ્ટેટ ઈન્ટર યુનિવર્સિટી સ્ટાફ ગેમ્સમાં વિજેતા બનવા માટે કર્મચારીઓ દ્વારા રોજ પ્રેક્ટીસ કરવાની સાથે વિશેષ કેમ્પ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પણ ટ્રેનિંગ લીધી હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:57 am

અન્નકૂટનું આયોજન:ગિરિકંદરા મહોત્સવમાં વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ 600 ઠાકોરજી પધાર્યાં

વાઘોડિયા રોડના જય અંબે ગ્રાઉન્ડ પર ચાલી રહેલા ગિરિ કંદરા મહોત્સવના દ્વિતિય દિવસે 11 જાન્યુઆરીએ વૈષ્ણવોના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ મહા મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવોના 600 જેટલા સેવ્ય સ્વરૂપ ઠાકોરજી પધાર્યાં હતાં. જ્યારે ગિરિરાજજીની અલગ અલગ કંદરામાં બિરાજી ભવ્ય અન્નકૂટ આરોગ્યો હતો. આ મહોત્સવ પ્રસંગે વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમને ઠાકોરજીને અન્નકૂટ ભોગ ધરાવી આરતી કરી હતી. 4 હજાર વૈષ્ણવોએ આ અન્નકૂટ મહોત્સવનો લાભ લીધો હતો. પીઠીકા વિતરણ તેમજ રાસ ગરબા પણન યોજાયા હતા. જેમાં લગભગ 1 હજારથી વધારે પીઠીકા વિતરણનું આયોજન કરાયું હતું. જ્યારે બીજી 4 હજાર પીઠીકા આગામી દિવસોમાં વૈષ્ણવને ઉપલબ્ધ થાય તેમ વ્યવસ્થા કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:54 am

અયોધ્યાના હનુમાનગઢીના મહંત વડોદરાની મુલાકાતે:આજે અયોધ્યા વિશ્વપટલ પર ચમકે છે,દરેક ત્યાં આવવા માગે છે: મહંત બલરામ દાસજી

અયોધ્યાના હનુમાનગઢીના મહંત 2 દિવસ માટે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમના યજમાન સ્થાને સુંદરકાંડ પાઠનું આયોજન નૂતન ભારત ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહંત બલરામ દાસજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભક્તિ યુવાઅવસ્થામાં છે. હાલમાં ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં દેશ ‘સોને કી ચીડિયા’ બનવા જઈ રહ્યું છે. આજનો યુવા ધર્મ પ્રત્યે જાગૃત છે. આજે અયોધ્યા વિશ્વપટલ પર ચમકી રહ્યું છે. દેશનો દરેક વ્યક્તિ અયોધ્યા મંદિરના દર્શન કરવા આવવા માગી રહ્યો છે. જો કોઈ એ અયોધ્યના રામ મંદિરના દર્શન કરવા કરવા હોય તો સૌથી પહેલા તેઓએ હનુમાનગઢી દર્શન કરવા આવવું પડે છે. બાદમાં અયોધ્યા રામ મંદિરમાં દર્શને જાય છે. સુંદરકાંડ પાઠના આયોજક શમ્મીસિંહે જણાવ્યું હતું કે, મહંત સુરત જઈ રહ્યા હતા જેથી મારી વિનંતીથી વડોદરા 2 દિવસ તેઓએ રોકાણ કર્યું છે. હું જ્યારે અયોધ્યા ગયો હતો ત્યારે મારી પહેલીવાર મુલાકાત થઈ હતી. જે બાદ મારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા છે. મહંત અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના લગ્ન કરાવે છે, સાથે કથા અને રામલીલા પણ યોજાય છેહનુમાનગઢીના મહંત દર વર્ષે અયોધ્યામાં દર વર્ષે 101 યુગલોના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. આ સાથે તેઓ કથા અને રામલીલાનું પણ આયોજન કરે છે. તેઓ ગુજરાત બીજી વાર આવ્યા હતા. જોકે વડોદરા તેઓ પહેલી વાર આવ્યા હતા. મંગળવારે પણ તેઓ વડોદરા રાકાશે અને બુધવારે સવારે તેઓ સુરત જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, હનુમાન ગઢીનું પૌરાણિક મહત્વ પણ છે. રામ-રાવણ યુદ્ધ બાદ ભગવાન રામે જે સ્થાન હનુમાનજીને રહેવા માટે જે સ્થાન અયોધ્યામાં રહેવા માટે આપ્યું હતું તે સ્થાનને હનુમાનગઢી તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:53 am

ગુંડા ગર્દીનું એપી સેન્ટર બન્યું આર્ટ્સ ફેકલ્ટીનું કેન્ટિન:આર્ટ્સની કેન્ટિન પાસે વિદ્યાર્થિનીને જોવા મુદ્દે ટકોર કરતાં યુવકનો પટ્ટાથી વિદ્યાર્થી પર હુમલો

મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને મારામારી કરી હોવાની ઘટના બહાર આવી છે. કેન્ટીન પાસે વિદ્યાર્થિનીને જોવા બાબતે ટકોર કરતાં યુવાને પટ્ટા વડે વિદ્યાર્થીને માર્યો હતો. યુનિ.ની સિક્યુરિટી સદંતર નિષ્ફળ ગઈ છે, જ્યારે એસી કેબિનમાં બેસતા અધિકારીઓની વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન ગુંડા ગર્દીનું એપી સેન્ટર બની છે. યુનિવર્સિટીની બહારનાં તત્ત્વો કેમ્પસમાં બેરોકટોક પ્રવેશે છે અને મન ફાવે ત્યાં બેસી વિદ્યાર્થિનીઓની છેડતી કરી રહ્યા છે. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોને કોઇ લેવા-દેવા ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને એક વિદ્યાર્થીને પટ્ટા વડે મારીને ગાળાગાળી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વિદ્યાર્થી તેના મિત્ર સાથે કેન્ટીનમાં બેઠો હતો ત્યારે બહારના યુવાને કોઇ કોમેન્ટ કરી હતી. જેથી વિદ્યાર્થીએ ટોકતાં ઉશ્કેરાયેલા તે શખ્સે પટ્ટો કાઢી તેને માર્યો હતો. ઘટના સમયે એક પણ સિક્યુરિટી જવાન હાજર નહતો. આર્ટ્સ ડીને સિક્યુરિટી વધારવા 3 પત્ર લખ્યા છતાં પગલાં ન લેવાયાંઆર્ટ્સના ડીને ફેકલ્ટીમાં સિક્યુરિટી વધારવા 3 પત્રો યુનિવર્સિટી સત્તાધીશોને લખ્યા છે. જ્યારે તેમણે રૂબરૂમાં વીસી, રજિસ્ટ્રારને રજૂઆતો કરી હતી છતાં હજુ કોઇ કાર્યવાહી કરાઈ નથી, જેને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીમાં થયેલી મારામારીની ઘટના બાદ ફેકલ્ટીના જ અધ્યાપકો દ્વારા આઇકાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવા આવેલા વાઇસ ચાન્સેલર વાસ્તવિક સ્થિતિથી અજાણનવા આવેલા વાઇસ ચાન્સેલરને યુનિવર્સિટીમાં શું થઇ રહ્યું છે તે વિશેની જાણકારી હેડ ઓફિસની એસી કેબિનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ બ્રિફિંગ કરી રહ્યા છે, જેને કારણે વીસી પણ યુનિવર્સિટીની જમીની હકીકતોથી વિશે જાણકારી મળી રહી નથી. સિક્યુરિટી જેવા મહત્ત્વના મુદ્દા પર કોઇ કાર્યવાહી થઇ રહી નથી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:51 am

સિંધી ભાષા લુપ્ત થતી રોકવા ઝુંબેશ:590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી

સિંધી ભાષા લુપ્ત થતી બચાવવાના અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરાના 590 વિદ્યાર્થીઓએ સિંધીની પરીક્ષા આપી હતી. સિંધી ભાષા શીખવાના 100 કલાકના વર્ગો લેવાય છે, જ્યારે સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમાના કોર્સ ચલાવાય છે. સિંધી ભારતની ઓફિશિયલ ભાષા હોવા છતાં લુપ્ત થઇ રહી છે. જેને પગલે સરકાર સિંધી ભાષાને બચાવવા અભિયાન કરી રહી છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સિંધી ભાષા માટે પરીક્ષા યોજાય છે. હરિ સેવા સ્કૂલ- વારસિયામાં 590 વિદ્યાર્થીઓએ સિંધી ભાષાની પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 40 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી હતી. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં 100 કલાકનો કોર્સનો અભ્યાસ કરાવ્યા બાદ જાન્યુઆરીમાં પરીક્ષા લેવાય છે. ઉત્તીર્ણ વિદ્યાર્થીને પ્રમાણપત્ર અપાય છે. સિંધી ભાષા શીખવનાર શિક્ષકને 100 કલાક ભણાવવાના કલાકના રૂા.250 લેખે 25 હજાર વેતન અપાય છે. 1960-70ના દાયકામાં વડોદરામાં શિક્ષણ સમિતિની 16 સિંધી માધ્યમની અને 3 મોટી સ્કૂલો હતી. જોકે આ શાળાઓ ક્રમશ: બંધ થઇ ગઇ છે. ભાસ્કરો નોલેજસિંધી ભાષામાં પુસ્તકો લખાય તે દિશામાં પણ પ્રયાસકેન્દ્ર સરકાર દ્વારા સિંધી ભાષાનો પ્રચાર થાય અને તે લુપ્ત થતી બચે તે માટે નિ:શુલ્ક પુસ્તકો આપવામાં આવે છે. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા સિંધી ભાષા નવી પેઢી શીખે અને તેમાં પુસ્તકો પણ લખાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પણ સિંધી ભાષામાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:50 am

પોલીસ એક્શન મોડમાં:ઉત્તરાયણ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સમયસર હરાજી પૂર્ણ કરવાની સૂચના

ઉત્તરાયણને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે પોલીસે વહેલાં બજાર શરૂ કરી રાત્રે વહેલાં બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. દરમિયાન ટ્રાફિક ન થાય તેનું પોલીસ ધ્યાન રાખશે. સિટી, વાડી, પાણીગેટ, કુંભારવાડા, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં પોલીસે સોમવારે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ દ્વારા મુખ્ય રોડની આજુબાજુ પતંગ-દોરાનું વેચાણ કરતા વેપારીઓને તેમના પથારા તથા દુકાનોનો સામાન, વાહનોથી ટ્રાફિક ન સર્જાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. સાથે પતંગ બજારની હરાજી સમયસર પૂર્ણ કરવા તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ અને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા કહ્યું હતું. ચાર દરવાજામાં 300થી વધુ પથારા, દુકાન, તમામ સ્થળો પર સમયાંતરે ચેકિંગ કરાશેચાર દરવાજા વિસ્તારમાં 300થી વધુ પથારા, દુકાન સહિત લારી-ગલ્લા પતંગ બજારમાં અને હરાજી વખતે હાજર રહેશે. સવારે 10 વાગ્યાથી બજાર ભરાશે અને મોડી રાત સુધી ચાલશે. પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુ વેચાય નહીં તે માટે સમયાંતરે ચેકિંગ કરાશે. કોઈ પ્રતિબંધિત વસ્તુ સાથે પકડાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:46 am

અકસ્માત નિવારવા પોલીસ કમિશનરનાં સૂચન:પાલિકાનાં ભારદારી વાહનો-સિટી બસ નિશ્ચિત લેનમાં જ હંકારવા સાથે નો ઓવરટેક, નો હોર્નનું પાલન કરવું પડશે

ભારદારી વાહનોથી થતા અકસ્માતો રોકવા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી હતી. જેમાં વીટકોસ, કચરો ઉઘરાવતાં વાહનો અને પાલિકાનાં ભારે વાહનોથી અકસ્માતો ન થાય તે અંગે ચર્ચા કરી સૂચન આપ્યાં હતાં. જેમાં પાલિકાનાં ભારે વાહન શહેરમાં નિશ્ચિત કરેલા સમયમાં પ્રવેશે. ઉપરાંત પાલિકાનાં ભારે વાહનો અને વીટકોસ બસને નો ઓવરટેક, નો હોર્ન અને નિશ્ચિત લેનમાં વાહન હંકારવા સ્પષ્ટ સૂચના આપી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે કોન્ટ્રાક્ટરોને સૂચના આપી કે, આરટીઓના નિયમ ફરજિયાત પાળવાના રહેશે. ઉપરાંત વાહનો પર કોન્ટ્રાક્ટની વિગત, એજન્સીનું નામ અને ઈમર્જન્સી નંબર ધરાવતું બોર્ડ લગાવવું પડશે. પોલીસ કમિશનરનાં સૂચન : વાહન પર કોન્ટ્રાક્ટની વિગત, ઈમર્જન્સી નંબરનું બોર્ડ લગાવવું પડશે 1. ભારે વાહનો નિશ્ચિત કરેલા સમયગાળા દરમિયાન જ શહેરના વિસ્તારમાં પ્રવેશ કરે 2. શહેરી વિસ્તારમાં વાહનની ગતિ ઓછી રાખે, નો ઓવરટેક, નો હોર્ન તેમજ નિશ્ચિત લેનમાં જ વાહન હંકારવાનું રહેશે 3. ડ્રાઈવરની સાથે ફરજિયાતપણે એક હેલ્પરની નિયુક્તિ કરવાની રહેશે 4. વાહનોએ સેફ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. વીટકોસ સિટી બસ નિર્ધારીત સમયે નીકળી બસ સ્ટેન્ડ પર ઊભી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે 5. બસ સ્ટેન્ડ પાસેનાં દબાણ હટાવાનાં રહેશે, વાહનોનું ફિટનેસ ચેક કરવવાનું રહેશે આરટીઓના નિયમોનું પણ ફરજિયાત પાલન કરવું પડશેબેઠકમાં બ્રિજ, રોડ સહિતના કામ માટે હેવી મશીનરી સાથે કામ કરતા કોન્ટ્રાક્ટર-ડ્રાઈવરો અને વીટકોસના કર્મી જોડાયા હતા. આરટીઓના નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. > ધર્મેશ રાણા, હેડ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:45 am

સસ્તા પતંગ લેવા પહોંચી જજો:માંડવી સહિત 5 બજારમાં આજે હરાજી મોડી રાત સુધી પતંગોના સોદા કરાશે

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લાં 100 વર્ષ કરતાં વધુ સમય જૂના પતંગ બજારમાં 13મી જાન્યુઆરીના રોજ મોડી રાતે હરાજી કરવામાં આવશે. જેમાં સસ્તા ભાવે પતંગની ખરીદી કરવા માટે શહેરીજનો ઊમટી પડશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષમાં શહેરના માંડવી ઉપરાંત ચકલી સર્કલ, સંગમ સહિત કુલ 5 સ્થળો પર નવાં પતંગ બજારો અસ્તિત્વમાં આવ્યાં છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી ખરીદવા માટે પહોંચી રહ્યાં છે. ઉત્તરાયણને આડે હવે એક દિવસ રહ્યો છે ત્યારે તમામ મોટાં બજારોમાં રાતે 12 વાગ્યા સુધી ખરીદી થઈ રહી છે. પતંગની ખરીદી કરવા માટે શહેર ઉપરાંત તાલુકાનાં વિવિવધ ગામોમાંથી પણ લોકો વડોદરા આવતા હોય છે, જેને કારણે ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખરીદી જામી છે. મંગળવારના રોજ હરાજીની રાતે ગેંડીગેટ રોડ પર પતંગોની ખરીદી માટે માનવ મહેરામણ ઊમટી પડશે. જેને કારણે પોલીસ દ્વારા પણ માંડવીથી ગેંડીગેટ રોડ પર બેરિકેડિંગ કરી નો-એન્ટ્રી કરી દેવામાં આવશે. આ હરાજીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો પતંગ ખરીદવા માટે આવતાં ચાર દરવાજા વિસ્તારમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. ત્યારે 100 વર્ષથી જૂના પતંગ બજારની હરાજી હજુ પણ જીવંત રહેલી છે. શહેરનાં આ 5 મોટાં પતંગ બજારો, જ્યાં મોડી રાત સુધી પતંગોનું વેચાણ થાય છે માંડવી સહિતના વિસ્તારમાં 3 દિવસ વાહનો માટે પ્રવેશબંધીમાંડવી, રાવપુર અને જૂના પાદરા રોડ પર મોટી સંખ્યામાં લોકો 13, 14 અને 15 જાન્યુઆરીએ પતંગ ખરીદી માટે પહોંચે છે. આ દરમિયાન ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને લોકોને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. 3 દિવસ દરમિયાન સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આજથી વાસી ઉત્તરાયણ સુધી જાહેરનામું અમલમાં રહેશે. માંડવી ચાર દરવાજા વિસ્તાર (તમામ વાહનો માટે) રાવપુરા રોડ, અડાણિયાપુલ ચાર રસ્તાથી માંડવી (ફોર વ્હીલર, વીટકોસ બસ માટે) જૂના પાદરા રોડ (ફોર વ્હીલર- ભારદારી વાહન માટે)

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:43 am

આજે ખેલાશે આકાશી યુદ્ધ:નવલખીમાં આજે પતંગોત્સવ, અમેરિકા સહિત 18 દેશના 52 પતંગબાજ જોડાશે

શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 દેશના 52 તેમજ 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવશે. મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સવારે 9 વાગ્યાથી નવલખી મેદાન ખાતે પાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચીલી, કોલમ્બિયા, ડેનમાર્ક, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, નેપાલ, રશિયન ફેડરેશન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વીડન, થાઈલેન્ડ, યુક્રેન અને અમેરિકાના 52 પતંગ બાજો ભાગ લેશે. જ્યારે ભારતના બિહાર, ઓરિસ્સા, સિક્કિમ, રાજસ્થાન, તામિલનાડુ સહિત સ્થાનિક 100 પતંગબાજો ભાગ લેશે. પતંગ ઉત્સવ સવારે 9 કલાકથી શરૂ થશે. આ પતંગ ઉત્સવમાં પાલિકાના પદાધિકારીઓ ધારાસભ્યો અને સંગઠનની ટીમ તેમજ કાઉન્સિલરો પણ હાજરી આપશે. વડોદરાને યજમાનીમાંથી બાકાત રખાયા બાદ મંજૂરી અપાઈદર વર્ષે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા વડોદરાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની યજમાની અપાતી હતી. જોકે આ વર્ષે વડોદરાને બાકાત રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેને કારણે વડોદરાના પતંગ રસિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગુજરાત ટુરિઝમ વિભાગે આ નિર્ણય લેતાં સાંસદ ડો.હેમાંગ જોશીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હેરિટેજ વારસો ધરાવતી આ નગરીમાં પતંગ ઉત્સવ કેટલો મહત્ત્વપૂર્ણ છે તેવી રજૂઆત સાથે પત્ર લખ્યો હતો. ત્યારબાદ આખરે વડોદરાને યજમાની અપાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:39 am

સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 1460 કરોડના MOU:સિરામિક ઉદ્યોગના વિકાસ માટે ઉચ્ચ કક્ષાની લેબોરેટરી સ્થાપવાની સરકારની વિચારણા

રાજકોટ ખાતે ચાલી રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજીયનના બીજા દિવસે આજે વિવિધ જિલ્લામાંથી આવેલા ઉદ્યોગકારોએ અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી માટે એમઓયુ કર્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સિરામિક ઉદ્યોગની તાકાત અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સિરામિક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સિરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચ કક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. આ સેમિનારમાં રાજ્ય સરકાર અને સિરામિક ઉદ્યોગો વચ્ચે 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને સિરામિક ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:22 am

સેવાકાર્ય:અભાવો વચ્ચે જીવતા સામાન્ય વર્ગના જીવનમાં‎તહેવારોની ખુશી ભરવા ચંપલનું વિતરણ કરાયું‎

મોરબીમાં પરહિતકર્મ ગ્રુપના ઉપક્રમે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે અનેક અભાવોથી જીવનની અસલી ખુશીઓથી વંચિત રહેતા સામાન્ય વર્ગ પણ સ્વમાનભેર જીવન જીવી તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા સેવાયજ્ઞ ચલાવવા આવી રહ્યો છે અને આવા સામાન્ય વર્ગના લોકો માટે અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરમિયાન હાલમાં ગાત્રો થીજાવતી ટાઢમાં ગરમ વસ્ત્રોમાં કેદ હોવાથી છતાં જનજીવન ઠુઠવાઈ ગયું હોય એવી કપરી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય વર્ગના બાળકો આવી ઠંડીમાં ઉઘાડા પગે રખડતા ભટકતા હોય તેમને ઠંડીમા કાંટા કાંકરા લાગતા હોવાનું ધ્યાને આવતા આ સંસ્થાના કાર્યકરોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને આ સંસ્થાએ આવા ઉઘાડા પગે રખડતા ભટકતા બાળકોને નવા સારા ચંપલ પહેરાવી ઠંડીમાં તેમના પગનું રક્ષણ કર્યું છે. મોરબીમાં પરહિતકર્મ ગ્રુપે સામાન્ય વર્ગના જીવનને અર્થસભર બનાવવા માનવતાવાદી અભિગમ દાખવી તેમના જીવનમાં રહેલા અભાવો દૂર કરવા માટે રીતસર સેવાનો ભેખ ધારણ કરી અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ કરે છે. હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં મોટાભાગના લોકો ઠંડીથી થરથર કાપી રહ્યા છે. ત્યારે આર્થિક રીતે સાધારણ પરિસ્થિતિ ધરાવતા અને મજૂરી કામ કરતા અનેક પરિવારોના નાના ભૂલકાના પગમાં ચંપલ ન હોય અને આવી કડકડતી ટાઢમાં રખડતા ભટકતા હોય ત્યારે તેમને પગમાં કાંટા કે કાંકરા લાગતા ઠંડીને કારણે. પીડા વધુ થતી હોવાનું આ સંસ્થાના ધ્યાને આવતા આવા રખડતા ભટકતા બાળકોને ચંપલ આપવાનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું. જેમાં પરહિતકર્મ ગ્રુપના સભ્યોએ મોરબી નજીક હાઈવે પરની અલગ-અલગ વસાહતો અને વિસ્તારોમાં જઈને 111થી વધુ નાના બાળકોને નવા ચંપલો આપીને ઠંડીમાં પગને રક્ષણ આપ્યું હતું. ખુલ્લા પગે ફરતા આ માસૂમ બાળકોના ચહેરા પર નવા ચંપલ પહેરતા જ અનેરી ખુશી જોવા મળી હતી. માત્ર ચંપલ જ નહીં પરંતુ આ ગ્રુપ દ્વારા છેલ્લા ૯ દિવસથી ગરીબ બાળકો અને જરૂરિયાતમંદોને ગરમાગરમ શીરો ખવડાવવાનું સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવી રહ્યો છે. કડકડતી ઠંડીમાં ઉઘાડા પગે રખડતા ભટકતા 111થી વધુ નાના બાળકને નવા ચંપલો પહેરાવી માનવતાની મહેક પ્રસરાવી. તસવીર- રવિ બરાસરા

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:17 am

ચોરોનો આતંક:મોરબીમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોર ફરાર

મોરબીના કેનાલ રોડ પર નિર્મલ સ્કૂલ નજીક આવેલ ક્રિસ્ટલ હાઇટ્સ B-201માં રહેતા વેપારી યુવાન પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયાની GJ-36-AP-3399 નંબરની કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી, ત્યારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સ કારના કાચ તોડી ફરાર થઇ ગયા હતા. જો કે કારમાંથી કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. જો કે બીજા દિવસે સવારે કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તેમજ પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. બાદમાં નિર્મલ સ્કૂલ ખાતે લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં કેટલાક અજાણ્યા ઇસમો ગાડીમાં નુકસાન કરતા નજરે પડ્યા હતા. આ બનાવને લઈ પ્રશાંતભાઈએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ યોગ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે કારને નુકશાન કર્યાની આશંકા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:16 am

PGVCLના કર્મીએ આપ્યો ઉડાઉ જવાબ:મોરબીના ચામુંડાનગરમાં એક જ દિવસમાં ચાર-પાંચ વખત લાઈટ ગુલ થતાં રહીશોએ ફોન કર્યો તો કંટ્રોલ રૂમના

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરંતુ તાજેતરમાં તો પીજીવીસીએલ તંત્રએ બેદરકારી દાખવવામાં હદ કરી નાખી હતી. ચામુંડાનગરમાં એક જ દિવસમાં ચાર પાંચ વખત વીજળી ગૂલ થઈ જતા સ્થાનિકો અકળાઈ ઉઠ્યા હતા. આટલું ઓછું હોય એમ આ વીજ ફોલ્ટને દૂર કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાને બદલે વીજ ફોલ્ટ કંટ્રોલ રૂમના કર્મચારીએ બિનજરૂરી વિગતો માંગી નિરર્થક ચર્ચા કરી, કેટલી કલાકથી લાઈટ ગઈ ? એક બે કલાકમાં પાવર ન આપે તો જ ફરિયાદ લખાવવી કહીને બે જવાબદારીભર્યા જવાબો આપતા લોકોમાં વિજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ચામુંડાનગરમાં રહેતા જાગૃત નાગરિક વિક્રમ ભંખોડીયાએ તેમના આખા વિસ્તારમાં લાઈટ ગયા બાદ નજીકના વીજ ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા કોલ કરતા સામે છેડે કર્મચારીએ લાઈટ ગયાને કેટલી કલાકો થઈ તેવું પૂછતાં વિક્રમભાઈએ 15 મિનિટ લાઈટ ગયાનું કહેતા જાણે કમાન છટકી હોય એમ એ કર્મચારીએ અમારે કલાક દોઢ કલાકનો વિજકાપ હોય એટલે કલાક બે કલાક સુધી લાઈટ ન આવે તો જ ફરિયાદ કરવી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી વિક્રમભાઈએ મોટાભાગે વીજતંત્ર જે તે વિસ્તારમાં એક દિવસ વીજકાપ રહેવાનું નોટિફિકેશન જાહેર કરતું હોવાથી એક બે કલાકનો વિજકાપ ન હોય છતાં આજે પાવર કાપનું નોટિફિકેશન જાહેર કર્યું છે કે કેમ તે પૂછ્યું ત્યારે કર્મચારીએ પણ એવો જવાબ આપ્યો હતો કે તેની મને ખબર નથી! અને હોદ્દો તેમજ નામ પૂછતા તેણે વીજ કસ્ટમર કેરના કર્મચારી ફક્ત મિલનભાઈ એવી ઓળખ આપી હતી.પણ આખું નામ આપ્યું ન હતું. નિરર્થક વિગતો પૂછી પૂછીને ગ્રાહકની પરેશાની વધારી દીધી હતી. ત્યારે એ મુદો ચર્ચામાં રહ્યો છે કે લાઇટ બીલ ન ભરવામાં આવે તો મોટા ઉપાડે વાજતે ગાજતે ટીમ આવીને જોડાણ કાપી જાય, ચોરી કરતા લોકો સામે કાર્યવાહી થાય એ તો સ્વાભાવિક જ છે. પરંતુ જેઓ સમયસર બિલ ભરી દે છે તેવા ગ્રાહકોને નાહક પરેશાન કરવામાં આવે તે તો ક્યાંનો ન્યાય?! બીજી તરફ આ અંગે વીજ અધિકારીનો સંપર્ક કરવામાં આવતાં તેમનો ફોન રીસીવ થયો ન હતો. ફોન રિસીવ જ ન થતાં હોવાની‎ લોકોની વધતી ફરિયાદો‎વીજ ધાંધિયાનો પ્રશ્ન એક વિસ્તાર પૂરતો સીમિત નથી, કાગડા બધે જ કાળા એમ ઘણા વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે અને વીજળી ગુલ થયા બાદ કામચલાઉ કામગીરી કરાતી હોય અને વીજ ફોલ્ટનું કાયમી નિરાકરણ ન આવતા વીજ સમસ્યા ઠેરની ઠેર જ રહી છે અને મેઇન્ટેનન્સના નામે વારંવાર વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે, લાઈટ ગયા બાદ અલગ અલગ વીજ ડિવિઝનો હોવાથી નજીકના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરીએ તો મોટાભાગે ફોન લાગતો જ નથી. એટલે અધિકારીને ફોન કરીએ તો એ વીજ ફોલ્ટ સેન્ટરમાં જાણ કરવાનું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:15 am

લ્યો બોલો!:મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન પાડા પુલ પર આખલાના સ્ટેચ્યૂનો અમુક હિસ્સો ગાયબ!

મોરબીના રાજાશાહી વખતના ઐતિહાસિક વિરાસત અને સ્થાપત્ય કલાના બેજોડ નજરાણા સમાન મોરબી શહેર અને સામાકાંઠાને જોડતા મચ્છુ નદી પરના પાડાપુલ પર બન્ને તરફ મહાકાય આખલાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે અને એક સ્ટેચ્યુને બારીકાઇથી જોવામાં આવે તો સ્પષ્ટ નજરે પડે કે આખલાના સ્ટેચ્યુનો અમુક હિસ્સો ગાયબ થઇ ગયો છે અથવા તો કરી દેવામાં આવ્યો છે. કોઈ ટીખળખોરોની આવી હરકત છે કે પછી અન્ય કોઈ કારણોસર આ પાડાનો હિસ્સો આ રીતે કાઢી લેવામાં આવ્યો છે ? તેનો જવાબ તો સંબધિત તંત્ર જ આપી શકે. પાડાની આ બે જોડ પર હંમેશા ધૂળની ચાદર જ છવાયેલી રહે છે. જેની ક્યારેય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જ્યારે વરસાદ આવે એટલે ધોવાઇ જશે એમ માનીને તંત્ર ચાલતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1879માં તત્કાલીન રાજવી સર વાઘજી ઠાકોરે આ પાડાપુલ બનાવ્યો હતો. જેની લંબાઈ 244 મીટર છે. આ પાડાપુલ ઉપર તે સમયે જ શ્રેષ્ઠ આર્કિટેક્ટ્સ દ્વારા બે ઘોડા અને બે આખલાના સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે. જે આજે પણ અડીખમ ઉભા છે. આ બે ઘોડામાં એકનું નામ રોયલ અને ડોલર છે. જ્યારે બે આખલા છે એને ત્યારે લોકો પાડા સમજી બેઠા હતા. એટલે જ એ પુલનું નામ પાડાપુલ પડ્યું હતું. ત્યારથી લોકો આ બે આખલાને પાડા માનીને જ પાડાપુલ તરીકે ઓળખે છે. પણ એ બે પાડા નથી. હકીકતમાં આખલા છે. સ્થિતિ ચકાસીને મરામત કરીશું‎આ બ્રિજના છેડા પર લગાવવામાં આવેલા આખલાને જો કે કોઇ નુકસાન નથી થયું. જે ડેમેજ થયું છે તે અમારા ધ્યાનમાં જ છે. બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તેની સ્થિતિની ચકાસણી કરીને બાદમાં આખલાના સ્ટેચ્યુની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. > હિતેશભાઇ આદ્રોજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:13 am

ઉત્તરાયણની તડામાર તૈયારી:એક ઇંચથી ત્રણ ફૂટ સુધીના પતંગોથી સિરામિક સિટીની બજાર છલકાઇ, દોર મંજાવવાને બદલે તૈયાર ફીરકી લેવાનો ક્રેઝ દેખાયો

ઉત્તરાયણ પર્વને હવે 24 કલાક બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેરની બજારમાં પતંગ અને માંજાની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, શહેરની મુખ્ય બજાર એવા પરા બજાર નહેરુ ગેટ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, વાવડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં જૂના હાઉસિંગ બોર્ડ ત્રાજપર ચોકડી વિસ્તારમાં સિઝન સ્ટોરમાં લોકો પતંગની ખરીદી કરવા નીકળી રહ્યા છે. જેના કારણે સમી સાંજથી મોડી રાત સુધી બજાર ધમધમી રહી છે. અગાઉ યુવાનો કાચથી પોતાની નજર સામે તૈયાર થતા માંજાની ખરીદી કરતા હતા. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં પતંગ દોરીની ફીરકી ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. ઇજા ન થાય તેવી ખાસ પ્રકારની દોરી માર્કેટમાં‎મોરબીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પતંગની ખરીદીનો માહોલ જામ્યો છે. હાલ બજારમાં કાગળ પ્લાસ્ટિક અને કાપડની પતંગ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાલ સોશ્યલ મીડિયામાં જે ટ્રેન્ડીગ છે તેવી ચાઇનીઝ પતંગ આવી છે નાના બાળકો માટે એવી દોરી ખાસ ઉપલબ્ધ છે જેનાથી બાળકોને હાથમાં ઈજા ન પહોચે હાલ ખરીદીનો માહોલ સારો છે જેના કારણે સિઝનમાં સારું વેચાણ થાય તેવી અમને આશા છે. > દીપક પોપટ, વેપારી બરેલી, રોકેટ ચીલ‎પતંગની ડિમાન્ડ નીકળી‎મોરબીની બજારમાં હાલ એક ઇંચથી લઇ કાગળની ત્રણ ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ છે તો કાપડની પતંગ ઉડાડવાના શોખીન પતંગ રસિયા માટે કાપડની 10 ફૂટની ઉચાઇની અલગ- અલગ વેરાયટીની પતંગ જોવા મળી રહ્યું છે. લોકોને પસંદગીની વાત કરીએ તો યુવાનોમાં બરેલી,રોકેટ ચીલ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી, વેલકમ 2026,વિવિધ દેશના ઝંડા બોલીવૂડ સ્ટારના તસ્વીર ફોટો વાળી પતંગની ડીમાન્ડ નીકળી છે. મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી ધીમી ગતિએ ચાલતી ખરીદી ગત રવિવારથી અચાનક વધતા દુકાનદારોને આ સિઝનમાં સારો વકરો થવાની આશા બંધાઈ છે હજુ બે દિવસ ખરીદી માટે સમય હોવાથી લોકો આ દિવસે મોટા પાયે ખરીદી કરશે તેવી આશા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:11 am

મનપા એક્શન મોડમાં:મોરબી શહેરમાં લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારોની ચાર મિલકત સીલ

મોરબી મહા પાલિકાનું નાણાકીય વર્ષ માર્ચમાં પૂરું થવાનું હોય માર્ચ એન્ડિંગ સુધીમાં કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપા કરવેરો ભરવામાં ઉદાસીન દાખવતા મિલકત ધારકોને ધડાધડ નોટિસો ફટકારીને કરવેરાની આકરી વસુલાત કરી રહ્યું છે અને નોટિસ ફટકારવા છતાં પણ મિલકત ધારકો દાદ ન આપતા અંતે મનપાએ બાકીદારો સામે આકરાપાણીએ થઈ તેમની મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કરવેરો ભરવામાં બેદરકારી દાખવતા 4 કૉમર્શિયલ મિલકત ધારકોની મિલકતોને સિલીંગ કરતા બાકીદારોમાં ફફડાટ મચી ગયો હતો અને 19ને વૉરંટ ઇશ્યુ કરતા તેમાંથી 15 મિલકત ધારકોએ સ્થળ પર જ વેરો ભરપાઇ કર્યો હતો. મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26ના બાકી કરવેરા હોય એવા આસામીઓ પાસેથી કરવેરાની વસુલાત કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મિલકત વેરા શાખાના કર્મચારીઓ શહેરમાં વિવિધ સ્થળે મિલકતના કરવેરા ભરવામાં ભારે લાપરવાહી દાખવતા મિલકત ધારકોને 3 જાન્યુઆરીથી વૉરંટ બજવણી કરી રહ્યા છે. જેમાં વેરો બાકી હોય એવા કુલ 19 જેટલા મિલકત ધારકોને વૉરંટ ઇશ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી 15 મિલકત ધારકોએ મિલકત વેરા શાખાને બાકી વેરો સ્થળ પર જ ભરી દીધો છે. જ્યારે 4 આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરતા અંતે તેમની કૉમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવી હતી. મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ભરપાઈ ન કરનાર આસામી ઓને વૉરંટ તથા સીલિંગની કામગીરી આગામી સમયમાં ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:07 am

વિશેષ લીગલ સેમિનારનું આયોજન કરાયું:ઈ-નોટરી, વસીયતનામું બનાવતી વખતે રાખવી પડતી સાવચેતીઓ જેવા કાયદાકીય વિષયો પર માર્ગદર્શન અપાયું

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત નોટરીઓ માટે હવે પ્રેક્ટિસની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં અમલી બનનાર ઈ-નોટરી પ્રોજેક્ટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા એક વિશેષ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના નોટરીઓએ ટેકનોલોજી અને કાયદાકીય પાસાઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. ભારત અને ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત નોટરીઓ માટે બદલાતા સમય સાથે તાલ મિલાવવા સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસીએશન દ્વારા રવિવારે રોજ એક વિશેષ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ઈ-નોટરી પ્રથા અમલી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નોટરીઓ આ નવી ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં મુખ્યત્વે ઈ-નોટરી, નોટરી અધિનિયમ-1952, અને વીલ (વસીયતનામું) બનાવતી વખતે રાખવી પડતી સાવચેતીઓ જેવા કાયદાકીય વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. સુરતથી આવેલા ઈ-નોટરી માર્ગદર્શક રવિભાઈ વાઘાણીએ ડિજિટલ પ્રેક્ટિસ અંગે નોટરીઓને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પરેશભાઈ જાની, મુખ્ય સરકારી વકીલ એમ.પી. સભાણી અને દક્ષિણ ગુજરાત નોટરી એસો.ના પ્રમુખ ઉમેશભાઈ ટેલર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. જિલ્લા નોટરી એસોસીએશનના પ્રમુખ રવિન્દ્રસિંહ ચુડાસમા અને તેમની ટીમ દ્વારા કરાયેલી મહેનતને કારણે સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, લખતર, પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા સહિત મોરબી અને વાંકાનેરથી પણ મોટી સંખ્યામાં નોટરીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નોટરી પ્રેક્ટિસમાં આવતા રોજબરોજના પ્રશ્નો અને ડોક્યુમેન્ટ પ્રોસેસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:01 am

ઓલિમ્પિક માટે દાવેદારીની દિશામાં સરકારનો મોટો નિર્ણય:નેશનલ ઓલિમ્પિક એકેડમી અમદાવાદમાં ફરી સક્રિય કરાશે, પી.ટી.ઉષા એકેડમીના પ્રમુખ પદે રહેશે

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે નેશનલ ઓલિમ્પિક એકેડમીને પુનઃ સક્રિય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એથ્લિટ કેન્દ્રિત વિકાસ, ઓલિમ્પિક શિક્ષણ અને સંસ્થાકિય ક્ષમતા નિર્માણ ને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત રાખવાનો છે. નેશનલ ઓલિમ્પિક એકેડમી એ ઓલિમ્પિક શિક્ષણ, અભ્યાસ, રિસર્ચ અને વાર્તા માટે ભારતની મુખ્ય સંસ્થા તરીકે કાર્યરમત રહેશે. આ માટે આઈઓએની સભામાં પી.ટી.ઉષાને આ એકેડમીના પ્રમુખ તથા IOAના વાઈસ પ્રેસિડેન્ટ અને ઓલિમ્પિક મેડલિસ્ટ એવા ગગન નારંગને NOAના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઓલિમ્પિક મૂલ્યોનું શિક્ષણ, એથ્લિટ્સ ડેવલ્પમેન્ટ તથા કરિયર ટ્રાન્ઝિશન સહિત બાબતે મદદ કરવા ઉપરાંત કોચ-ઓફિશિયલ્સ, એડમિનિસ્ટ્રેટર્સ અને સપોર્ટ સ્ટાફની ક્ષમતા વધારવાનો અને તૈયાર કરાશે. આ ઉપરાંત રમત સંસ્થાઓમાં પ્રોફેશનલ ઢબે કામ કરવા તૈયાર કરાશે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

વાતાવરણ:મહતમ 3 ડિગ્રી , લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઉંચું આવ્યું

પોરબંદરમાં કકળતી ઠંડી યથાવત રહી છે. મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા થયું છે તેમ છતાં વધુ ઠંડીનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે. પોરબંદરમાં ઠંડા પવનના સુસવાટા બોલે છે. ગઈકાલે રવિવારે મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું અને આ 26 ડિગ્રી મહતમ તાપમાન આ મોસમનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. જ્યારે સોમવારે મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઇકાલે રવિવારે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું અને સામવારે લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17 ડીગ્રીએ પહોંચ્યું છે. તાપમાન વધ્યું હોવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાત્રિના સમયે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 20 ટકા નોંધાયું છે. અત્રે નોંધનીય છેકે, છેલ્લા 2 દિવસથી તાપમાન સતત નીચુ રહેતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હાલ તાપમાન ઉંચકાયું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:આરટીઓ કચેરીમાં 27માંથી 10 જગ્યા ખાલી , 9.50 લાખ વાહન ચાલકોને હાલાકી

પોરબંદરના દેગામ ગામે આરટીઓ કચેરી કાર્યરત છે. આ આરટીઓ કચેરી ખાતે 27ના મહેકમ સામે 10 જગ્યા ખાલી છે. જિલ્લામાં અંદાજે 9.50 લાખ જેટલા નવા જૂના વાહનો છે ત્યારે વાહન ચાલકો વાહન પાસિંગ કરાવવા, લાયસન્સ કઢાવવા, ટેક્સ ભરવા સહિત આરટીઓને લગતી કામગીરી માટે જાય ત્યારે કર્મીના અભાવે કામગીરી ટલ્લે ચડે છે. પોરબંદરના દેગામ ગામે આરટીઓ કચેરી આવેલ છે. આ આરટીઓ કચેરી ખાતે સ્ટાફની અછત સર્જાણી છે. આરટીઓ કચેરી ખાતે મહેકમ સામે સ્ટાફની ઘટ છે. આરટીઓ કચેરી તો વિશાળ જગ્યા પર બનાવેલ છે પરંતુ સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. આરટીઓ કચેરી ખાતે 27ના મહેકમ સામે 10 જગ્યા ખાલી પડેલ છે. ખાલી જગ્યા હોવાને કારણે 1 કર્મી પર 2 કર્મીનું કામ આવે છે જેથી કર્મચારીઓને કામનું ભારણ વધી જાય છે તેમજ કામગીરી પણ ખોરવાઈ રહી છે. હાલ કેટલીક કામગીરી ઓનલાઇન થઈ છે પરંતુ મહેકમ સામે પુરતા સ્ટાફની જગ્યા ભરેલ હોય તો કામગીરી અસરકારક થાય તેમ છે. પોરબંદર જિલ્લામાં નાના મોટા અંદાજે 9.50 લાખ વાહનો છે. આરટીઓ કચેરી દ્વારા વાહનોના લાયસન્સ આપવા, વાહન ચેકીંગ, નામ ટ્રાન્સફર કરવા, ચકાસણી, પોલીસે ડીટેઈન કરેલ વાહનોનો દંડ પ્રક્રિયા, વાહનોના પાસિંગ, ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા સહિતની કચેરીની વહીવટી કામગીરી કરવાની હોય છે. 9.50 લાખ વાહનોના ચાલકોને કર્મચારીઓની ઘટ હોવાથી કામગીરી ખોરવાઈ છે અને અરજદારોને ધક્કા ખાવા પડે છે. કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી અને કેટલી ભરાયેલી ?આરટીઓ કચેરી ખાતે આસી.આરટીઓ ઇન્સ્પેકટરની મહેકમ મુજબ 8 માંથી 6 જગ્યા ભરેલ છે અને 2 જગ્યા ખાલી છે. આરટીઓ ઇન્સ્પેકટરની 3 માંથી 2 જગ્યા ભરેલ છે અને 1 જગ્યા ખાલી છે. એઆરટીઓ ની 1ના મહેકમ સામે 1 જગ્યા ભરેલ છે જ્યારે જુનિયર ક્લાર્કની 11માંથી 6 જગ્યા ભરેલ છે અને 5 જગ્યા ખાલી છે. જ્યારે સિનિયર ક્લાર્કની બંને જગ્યા ભરેલ છે પરંતુ હેડ ક્લાર્કની 2ના મહેકમ સામે બંને જગ્યા ખાલી છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

ભાસ્કર ખાસ:2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી લગ્ન ઘટયા : પોરબંદર શહેરમાં 2025માં 2736 દંપતીએ લગ્ન રજિસ્ટ્રેશન કરાવ્યા

પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લગ્ન નોંધણી વિભાગ આવેલ છે.જેમાં વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.2025માં લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી 95 લગ્ન ઘટયા છે. પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં અલગ અલગ અનેક વિભાગ આવેલ છે.જેમાં મનપાના જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન વિભાગ પણ આવેલ છે.લગ્ન રજિસ્ટ્રેશન વિભાગમાં લગ્નગ્રંથીથી જોડાયેલ દંપતી મેરેજ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે આ વિભાગમાં વર્ષ 2024માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2831 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તો વર્ષ 2025માં લગ્નગ્રંથીથી જોડાયેલ 2736 દંપતીએ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.વર્ષ 2025માં સીમિત જ લગ્નના મુહૂર્ત હોવાથી વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં 95 લગ્ન ઘટયા હતા.વર્ષ 2025માં જાન્યુઆરી માસમાં લગ્નના ખૂબ ઓછા મુહૂર્ત હોવાથી આ વર્ષમાં લગ્ન પ્રસંગો ઘટયા છે. લગ્ન રજિસ્ટ્રેશન વિભાગે 240 લગ્ન સર્ટિફિકેટ સ્થળ પર આપ્યા પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન રજિસ્ટ્રેશન વિભાગના વિવેકભાઈ દ્વારા સમુહલગ્નમાં સ્થળ પર જ દંપતિનું લગ્ન રજિસ્ટ્રેશન કાર્યવાહી કરી સ્થળ પર સર્ટિફિકેટ આપવામાં આવે છે.વર્ષ 2025માં 240 દંપતીને સ્થળ પર લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

ભાસ્કર વિશેષ:માંડવી-તલના ભાવ વધતા આ વખતે સંક્રાંત પર ચીકીના ભાવમાં 15 ટકા વધ્યા, ગોળની ચીકીની માંગ યથાવત રહી

મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીકીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. જોકે, આ વર્ષે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારી જયેશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે માંડવી (સીંગદાણા) અને તલના ભાવમાં થયેલા વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની અસર છૂટક બજાર પર પડી છે. બજારમાં અત્યારે કાજુ-બિસ્કિટ ચીકી, તલ ચીકી, માંડવીની ચીકી, તલ-ટોપરું અને માંડવીની મિક્સ ચીકી જેવી વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. મોંઘવારીને કારણે વેચાણ પર થોડી અસર પડી છે, તેમ છતાં ગોળની ચીકીનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે ઉતરાયણના આગલા દિવસોમાં બજારમાં રોનક અને ઘરાકી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ખરીદીનો માહોલ થોડો ‘ઠંડો' જોવા મળી રહ્યો છે. લોકો જરૂરિયાત મુજબની જ ખરીદી કરી રહ્યા છે. વધતા ભાવ વચ્ચે પણ જૂનાગઢવાસીઓ પર્વની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

લુન્સિકૂઇમાં ધોળા દિવસે બની ચોરીની ઘટના‎:પરિવાર કામ માટે ગયું અને ઘરમાં 2 લાખ મતાની ચોરી

નવસારીમાં ધોળા દિવસે ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં લુન્સિકૂઇ નજીક આવેલ ગુલાબદાસની વાડીમાં આવેલ શ્રુતિ ફ્લેટ્સમાં રહેતા બીનાબેન સંજયભાઈ ગોરવાએ જણાવ્યું કે, સોમવારે બપોરે તેઓ કામ માટે 11.30 કલાકથી 2.30 કલાક સુધી બહાર હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું નકૂચા સાથે તોડી ઘરમાં મૂકેલા રોકડા 30 હજાર, દોઢ તોલાની સોનાની, સાચા મોતીની માળા, સોનાની બુટ્ટી, વીંટી ચેન ચાંદીના સિક્કા મળી કુલ બે લાખથી વધુની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મોડી સાંજ સુધીમાં ફરિયાદ દાખલ કરી ન હતી. એક માસમાં ભર દિવસે ચાર ચોરીની ઘટનાનવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક માસમાં ચાર જગ્યાએ ધોળા દિવસે ચોરીની ઘટનામાં શાંતાદેવી રોડ ખાતે આવેલ શિવધારા એપાર્ટ. દંપતીના ઘરે રૂ.1.35 લાખની ચોરી, તા.29 નવેમ્બરના રોજ, કબીલપોરના સંસ્કૃત એપાર્ટ.માં ત્રીજા માળે રૂ.1.89 લાખ ની ચોરી અને રાયચંદ રોડ પાસે આવેલ એપાર્ટ.માં 1.65 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી અને તા.12 જાન્યુઆરીના રોજ લુન્સિકૂઇ વિસ્તારમાં શ્રુતિ ફ્લેટ્સમાં રોકડ અને સોનાચાંદીના દાગીના મળી બે લાખની ચોરીની ઘટના બની છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 4:00 am

14 જાન્યુઆરીએ સુરતની 367 BRTSના પૈડાં થંભી જશે:વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70% નો કાપ, 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થશે

સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભાવી દેવાનો નિર્ણય લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આ આકરા પગલાં લીધા છે. સિટી બસ સેવા 30 ટકા ક્ષમતા સાથે જ દોડશેબીજી તરફ, સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શિડ્યુલના માત્ર 30 ટકા ક્ષમતા સાથે જ દોડશે. આ નિર્ણયને કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો જોવા મળશે નહીં, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70 ટકા જેટલો કાપ યથાવત રાખવામાં આવ્યો છે. BRTS કોરિડોરમાં અકસ્માત નિવારવા લેવાયો નિર્ણયઆ નિર્ણય પાછળનું મુખ્ય કારણ BRTS કોરિડોરમાં થતા અકસ્માતો છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે. બસોની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી શકતો નથી, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ઉપરાંત, હવામાં લટકતી પતંગની કાચ પાયેલી દોરી ટુ-વ્હીલર સવારોની જેમ બસમાં સવાર મુસાફરો અને ડ્રાઈવરો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. મહાનગરપાલિકાનો 'સેફ્ટી ફર્સ્ટ' એપ્રોચપતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે અને રસ્તાઓ પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે પાલિકાએ આ સેફ્ટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે. વાસી ઉત્તરાયણે પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી ૧૫મી જાન્યુઆરીએ BRTS ને માત્ર 30 ટકા અને સીટી બસને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કરાયું છે. 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિતસુરતનું 108 કિમી લાંબુ BRTS નેટવર્ક શહેરની જીવાદોરી સમાન છે. રોજના અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે. કુલ 754 બસોના કાફલામાંથી મોટાભાગની બસો બંધ રહેતા મિની ભારત ગણાતા સુરતના શ્રમિક અને મધ્યમ વર્ગના મુસાફરોએ રિક્ષા અથવા ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડશે. તંત્રએ અગાઉથી જ મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરો જેઓ રોજબરોજ આ બસોમાં મુસાફરી કરે છે, તેમને આ બે દિવસ દરમિયાન આવવા-જવામાં ભારે આર્થિક અને સમયનો બોજ સહન કરવો પડશે. તંત્રના જણાવ્યા અનુસાર, જનહિતમાં લેવાયેલા આ નિર્ણયમાં સહકાર આપવો જરૂરી છે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. શહેરના 'ડેન્જર ઝોન' પર ખાસ નજરપાલિકા દ્વારા શહેરના એવા રૂટ્સની ઓળખ કરવામાં આવી છે જ્યાં અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે. વરાછા-સીમાડા રૂટ ગીચ વસ્તીવાળો હોવાથી ત્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે અને અકસ્માતની શક્યતા વધુ રહે છે. તેવી જ રીતે ઉધના-મગદલ્લા અને ઉધના-પાંડેસરા કોરિડોર પર બસોની સ્પીડ વધુ હોવાથી તેને હાઈ-રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યા છે. કતારગામ અને વેડ રોડ જેવા વિસ્તારોમાં સાંકડા રસ્તાઓને કારણે સિટી બસ અને પતંગબાજો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના રહે છે. આ તમામ હોટસ્પોટ વિસ્તારોમાં બસ સેવાના કાપને કારણે અકસ્માતોમાં ઘટાડો થશે તેવી તંત્રને આશા છે. સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયથી ઉત્તરાયણ પર્વ વધુ સુરક્ષિત બનશે તેમ મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:05 am

કાંકરિયા પરિસરમાં ત્રણ મહિનામાં નવી બે ટોય ટ્રેન દોડશે:કિડ્સ સિટી અને બાલવાટીકા પાસે ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવાશે, ટ્રેનમાં તમામ ઓપન કોચ રહશે

અમદાવાદના ફરવાલાયક સ્થળોમાં સૌથી જાણીતા એવા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે નવી બે ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે. કિડ્સ સિટી અને બાલવાટીકા પાસે પણ આ ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવવામાં આવશે. જેથી બંને જગ્યાએથી લોકો ટ્રેનમાં બેસી કાંકરિયાની મજા માણી શકશે. આગામી ત્રણ મહિનામાં આ ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે. નવી બે ટોય ટ્રેન તૈયાર થઇ ત્રણ મહિનામાં કાંકરીયા પહોંચશેઆ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા પરિસરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. ખાસ કરીને કાંકરીયામાં શરૂ કરવામાં આવેલી ટોય ટ્રેનની મજા નાના બાળકોથી લઇ મોટા લોકો પણ વધારો થાય તે માટે નવી બે ટોય ટ્રેન માટે મંજૂરી આપી છે. બે ટોય ટ્રેન તૈયાર થઇને આગામી બેથી ત્રણ મહિનામાં કાંકરીયા ખાતે આવી પહોંચશે. જે બાદ નાગરીકોને વધુ આધુનિક અને સુરક્ષીત ટોય ટ્રેનની સફર માણી શકશે. કાંકરીયા આવતા સહેલાણીઓને વધુ એક નજરાણું મળશેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 3.54 કરોડના ખર્ચે ટ્રેન ખરીદવામાં આવી રહી છે. આ નવી ટોય ટ્રેન બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપીને ઓર્ડર આપી દીધો છે. જે આગામી 3 મહિનામાં તૈયાર થઇને આવે તેવી શક્યતા છે. ત્યારે આ ટોય ટ્રેન ઉનાળાના વેકેશન પહેલા જ શરૂ થઇ જશે. જેથી કાંકરીયામાં ફરવા આવતા સહેલાણીઓને વધુ એક નજરાણું મળશે. યુકે ટેકનોલોજીથી સજ્જ એન્જિન તૈયાર કરાશેઆ નવી ટોય ટ્રેનનો લુક તો હાલની ટ્રેન જેવો જ રાખવામાં આવ્યો છે. બંને ટ્રેનના એન્જિન વધુ મજબુત, ક્ષમતાપુર્ણ અને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલતા હશે. હાલ સાદુ એન્જિન છે તેને બદલે આ યુકે ટેકનોલોજીથી સજ્જ એન્જિન તૈયાર કરાશે. ટ્રેનના તમામ ઓપન કોચ રહશે. તે સિવાય આ ટ્રેનની 5 વર્ષની ગેરંટી વોરંટી રહેશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ખોડલ કોર્પોરેશન જે.વી. દ્વારા દેશમાં ટ્રેન બનાવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Jan 2026 12:05 am

યોગીચોકમાં મંજૂરી વિના બેઝમેન્ટ ખોદાતા સ્થાનિકોમાં રોષ:પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ કહ્યું- તાત્કાલિક FIR નોંધાવી સાઇટ સીલ કરવી જોઈએ

સુરતના અલથાણમાં તાજેતરમાં રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટમાં 40 ફૂટ ઊંડી ડી-વોલ ધરાશાયી થવાની ઘટનાએ સુરતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનાને પગલે શિવ રેસિડેન્સિના ચાર બિલ્ડીંગો પર ખતરો મંડરાયો હતો. આટલી મોટી ચેતવણી છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. શહેરના પુણા વિસ્તારમાં ફરી એકવાર આવો જ જોખમી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંજૂરી વિના જ મોટું ખોદકામ કરી દેવાયું છે. નિયમોને નેવે મૂકી 'કેલિકુંજ વેદિકા હાઈટ્સ'નું નિર્માણપુણાના યોગી ચોક વિસ્તારમાં આવેલી કેલિકુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ દ્વારા મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના 9 ફૂટ ઊંડું બેઝમેન્ટ ખોદી નાખવામાં આવ્યું છે. આ ગેરકાયદે ખોદકામને કારણે આજુબાજુની સોસાયટીઓ જેવી કે યોગી હાઈટ્સ અને મંગલમ રેસીડેન્સીના બાંધકામને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોની સુરક્ષા જોખમમાં મુકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ચાલુસ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગત 31 ડિસેમ્બર 2025ના રોજ મનાઈ હુકમ અને નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નોટિસ આપ્યા બાદ પણ સ્થળ પર કામગીરી અવિરત ચાલુ છે. અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતને કારણે માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. નિયમોનું થઈ રહ્યું છે ઉલ્લંઘનઆ પ્રોજેક્ટમાં માત્ર બાંધકામ જ નહીં, પરંતુ પર્યાવરણ અને ડ્રેનેજ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ફરિયાદ મુજબ નીચે મુજબના કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે, તાત્કાલિક FIR નોંધાવી સાઇટ સીલ કરવી જોઈએ: વિજય પાનશેરિયાપૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, લોકોના જીવ જોખમમાં મૂકનાર બિલ્ડર સામે તાત્કાલિક FIR નોંધાવવી જોઈએ અને સાઇટ સીલ કરવી જોઈએ. બિલ્ડર પાસેથી રોયલ્ટી વસૂલ કરી, CGDCR અને SWMના નિયમોનું પાલન કરાવવું જોઈએ. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની?

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:27 pm

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વિદેશી નોટો અને સોનું જપ્ત:બે મુસાફરો પાસેથી 44 લાખના પાઉન્ડ, યુરો અને ડોલર તો અન્ય મુસાફરના પેન્ટમાંથી 44 લાખનો સોનાનો બાર કબજે કર્યો

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના, ગાંજા સહિતની અનેક ચીજવસ્તુઓ સાથે મુસાફરોને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આજે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દીધો હતો. જેમાંથી બે કેસ 44 લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી 310.12 ગ્રામનો એક ગોલ્ડ બાર કબ્જે કર્યો હતો. જેની બજાર કિંમત 44,05,565 થવા જાય છે. આમ સરવાળે આજે સવારે કસ્ટમ્સ વિભાગે 88 લાખથી વધુ કિંમતના જુદી જુદી ચીજવસ્તુના કુલ ત્રણ કેસો કર્યા હતા. બેંગકોક જતા મુસાફર પાસેથી 32.14 લાખની વિદેશી ચલણી નોટો મળીઅગાઉથી મળેલી બાતમીના આધારે કસ્ટમ્સના એર યુનિટ દ્વારા આજે 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી બેંગકોક જઇ રહેલાં એક મુસાફરને અટકાવીને તપાસ કરતાં તેની પાસેથી 32.14 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જેમાં પાઉન્ડ અને ઓસ્ટ્રેલિયન ડોલર હતા. આ વિદેશી ચલણી નોટોમાંથી 30,94,00ની કિંમતના 700 નંગ પાઉન્ડ તથા 1,20,130ની કિંમતની ઓસ્ટ્રેલિયન ડોલર નંગ 41 વિદેશી મળી આવ્યા હતા. જોકે, તેના સામાનમાં કસ્ટમ અધિનિયમની જોગવાઇ અંતર્ગત વિદેશી ચલણી નોટોની જાહેર કરવામાં આવી નહીં હોવાથી કસ્ટમ્સ વિભાગે ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ (ચલણની નિકાસ અને આયાત) રેગ્યુલેશન 2015 અંતર્ગત કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ અંગેની વધુ તપાસ ચાલુ છે. અન્ય મુસાફર પાસેથી 11.64 લાખની વિદેશી ચલણી નોટો જપ્ત કરીઆ જ રીતે થાઇ લાયન એરફલાઇટ દ્વારા અમદાવાદથી બેંગકોક જઇ રહેલાં બીજા મુસાફર પાસેથી 11,64,805ની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. જેમાં પાઉન્ડ, યુરો અને ઓસ્ટ્રેલિયન ડોલરનો સમાવેશ થાય છે. તપાસ કરતાં 5,77,150ની કિંમતની 217 નંગ પાઉન્ડ, 3,47,395ની કિંમતની 67 યુરો અને 2.40,260ની કિંમતના 41 ઓસ્ટ્રેલિયા ડોલર મળી આવ્યા હતા. તેમણે પણ આ વિદેશી ચલણી નોટો જાહેર કરવામાં આવી ન હોવાથી કસ્ટમ્સ વિભાગના એર યુનિટ દ્વારા કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઇ હેઠળ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 44 લાખની કિંમતનો સોનાનો બાર કબ્જે કર્યોઆ ઉપરાંત કસ્ટમ્સ વિભાગના એર યુનિટ દ્વારા પેસેન્જરના પ્રોફાઇલિંગના આધારે એર એશિયાની ફલાઇટમાં તપાસ કરતાં એક મુસાફરના જીન્સ પેન્ટના ખિસ્સામાં 310.12 ગ્રામની 24 કેરેટનો એક ગોલ્ડ બાર છૂપાવ્યો હોવાનું જણાયું હતું. જેની કુલ બજાર કિંમત 44,05,565 રૂપિયા થાય છે. તે જપ્ત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:20 pm

જામનગરમાં AAPની પરિવર્તન સભામાં ઈસુદાનના પ્રહાર:વડોદરાના 5 ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત એક સભામાં, પક્ષના નેતાઓ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી તેવી ફરિયાદ કરાઈ હતી. ઈશુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં સરકારી અંગ્રેજી શાળાઓના અભાવ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં ડોકટરોની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે મહાનગરપાલિકા દ્વારા ભાજપનો પ્રચાર ન કરવા અને વિકાસના પાંચ કાર્યો દર્શાવવા પડકાર ફેંક્યો હતો. ગઢવીએ 'મા કાર્ડ' અને 'પિતા કાર્ડ'ના બેફામ ઉપયોગ અને ખોટા ઓપરેશનો થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વિસાવદરની જનતાને લાખ લાખ સલામ કરી હતી, કારણ કે 160 ગામોમાં 162 જેટલા ધારાસભ્યો પ્રચારમાં ઉતર્યા હોવા છતાં જનતાએ તેમને સાથ આપ્યો ન હતો. જૂનાગઢની વાત કરતા ઈશુદાન ગઢવીએ હેમાબેન આચાર્યનો ઉલ્લેખ કર્યો, જેઓ સંઘના અગ્રણી કાર્યકર હતા. ગઢવીએ કહ્યું કે તેમણે હેમાબેનને ભાજપમાં લાવ્યા હતા, પરંતુ હવે તેઓ તેમને ભાજપને હટાવવા માટે આશીર્વાદ આપે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ લોકશાહીને બદલે 'મુગલ સરકાર' જેવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે શહેનશાહ આવે છે ત્યારે રોડ-રસ્તા બની જાય છે, પરંતુ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓ હેરાન થાય છે. ઇટાલીયાએ વડોદરાના પાંચ ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. આ પત્રમાં ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમને માન આપતા નથી અને તેમનું કામ કરતા નથી. ઇટાલીયાએ સવાલ કર્યો કે જો ભાજપના ધારાસભ્યોનું અધિકારીઓ પાસે ઉપજતું ન હોય, તો ગામડાના સામાન્ય માણસોની દશા શું હશે? ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું કે, ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરે છે કે તેમનું કંઈ ઉપજતું નથી. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, કદાચ મુખ્યમંત્રી પણ આવો જ પત્ર લખવા માંગતા હશે કે તેમનું પણ કંઈ ઉપજતું નથી, પરંતુ તેઓ કોને કહે? તેમણે વર્તમાન પરિસ્થિતિને એવી ગણાવી કે જાણે બાળક પિતાને ફરિયાદ કરે, પણ પિતા કોને ફરિયાદ કરે. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા હેમંત ખાવા સૌરાષ્ટ્ર જ્યોન અધ્યક્ષ પ્રકાશ દોંગા, શહેર અને જિલ્લા ના આમ આદમી પાર્ટીના પ્રમુખો,મહામંત્રી, આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:05 pm

વેરાવળના લુહાણા સેનેટરીમાં બે બંધ મકાનમાં આગ:ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

વેરાવળ શહેરના લુહાણા સેનેટરી વિસ્તારમાં આજે સાંજે આશરે 6:30 વાગ્યે બે બંધ મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને કાબૂમાં લેવાઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બકાલા માર્કેટથી આગળ, સોની વંડીની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. LFM સુનીલકુમાર ચુડાસમા, FM મયંક ડાભી, FM ભાવેશ ચાવડા, લાલા, ધરમશી કોટિયા અને અનિલ સહિતનો સ્ટાફ મિની ફાયર ફાઇટર (GJ-18-GB-9039) અને વોટર બ્રાઉઝર નંબર 6225 સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગને કારણે આસપાસ ધુમાડો ફેલાઈ ગયો હતો, પરંતુ ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે આગ અન્ય મકાનો સુધી ફેલાતી અટકાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આગ બિપીન જીમુલીયાના મકાનમાં લાગી હતી, જે ઘણા લાંબા સમયથી બંધ હતું અને તેમાં કોઈ રહેતું ન હતું. તેમ છતાં, આજુબાજુના મકાનોમાં લોકો વસવાટ કરતા હોવાથી આગની ઘટના વધુ ગંભીર બની શકે તેવી સ્થિતિ હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 10:00 pm

તાલાલામાં 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી:કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લામાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે તાલાલા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમના આયોજન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલાલા ખાતે વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય ભાવનાને પ્રતિબિંબિત કરતી પ્રસ્તુતિઓ સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે વીજ પુરવઠા વ્યવસ્થા, વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, ફાયર ફાઈટર સેવા, આરોગ્ય સુવિધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે તમામ વ્યવસ્થાઓ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી તેમજ શિક્ષણ, પોલીસ, આરોગ્ય, રમતગમત અને પી.જી.વી.સી.એલ. સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:53 pm

સુરેન્દ્રનગરની લાફિંગ ક્લબ તણાવ ઘટાડે છે:આર્ટસ કોલેજ મેદાનમાં રોજ સવારે વહે છે હાસ્યની સરવાણી

સુરેન્દ્રનગરમાં 'એક્ટિવ લાફિંગ ક્લબ' છેલ્લા બે દાયકાથી વડીલોના જીવનમાં હાસ્ય અને ખુશીઓ લાવવાનું કાર્ય કરી રહી છે. આ ક્લબ દરરોજ સવારે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ભેગી થાય છે, જ્યાં 30થી 85 વર્ષના 40થી વધુ સભ્યો તણાવમુક્ત જીવન માટે હાસ્ય અને વ્યાયામ કરે છે. આ લાફિંગ ક્લબની શરૂઆતનો વિચાર ડૉ. મદન કટારિયા દ્વારા 10 જાન્યુઆરી 1998ના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરની આ ક્લબ વર્ષ 2002માં સ્થપાઈ હતી અને ત્યારથી તે શહેરના વડીલો માટે એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ બની રહી છે. ક્લબના સભ્યો દરરોજ સવારે 6:20 થી 7:30 દરમિયાન એકઠા થાય છે. દિશેનભાઈ તુરખીયાના જણાવ્યા અનુસાર, આ ક્લબની શરૂઆત બી.જે. પટેલ, આર.જે. શાહ અને મનજીભાઈ બારદાને કરી હતી. હાલમાં જશુકાકા, મનસુખલાલ પદમસી અને બી.ડી. ગાંધી ક્લબનું સંચાલન કરી રહ્યા છે. આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યાં લોકો ભૌતિક સુવિધાઓ પાછળ દોડીને પોતાનું હાસ્ય ગુમાવી રહ્યા છે, ત્યાં હાસ્યને શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. હાસ્ય કુદરતી રીતે તણાવ દૂર કરે છે અને માનસિક રોગો, ડિપ્રેશન તથા એકલતા સામે રક્ષણ આપે છે. તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ક્લબમાં હાસ્યની સાથે જનરલ એક્સરસાઇઝ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જે વડીલોને શારીરિક રીતે ફિટ રાખવામાં મદદ કરે છે. આર્ટિફિશિયલ હાસ્ય, એટલે કે કોઈ રમુજી કારણ વગર માત્ર વ્યાયામ તરીકે હસવું, તે પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. વિજ્ઞાન અનુસાર, મગજ 'નકલી હાસ્ય' અને 'સાચા હાસ્ય' વચ્ચેનો તફાવત પારખી શકતું નથી, જેથી તેના ફાયદા સમાન રહે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:44 pm

બોટાદમાં રત્નકલાકારોના બાળકોને શિક્ષણ સહાય શરૂ:સરકારે ડાયમંડ એસોસિયેશનની રજૂઆત બાદ કરી જાહેરાત

બોટાદ જિલ્લામાં રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય યોજના શરૂ થઈ છે. સરકાર દ્વારા આ સહાય મળવાની શરૂઆત થતાં રત્નકલાકારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા રત્નકલાકારોના બાળકોને મહત્તમ ૧૩,૫૦૦ રૂપિયાની શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન દ્વારા સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાંથી કુલ ૧૩,૪૦૦ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૩,૧૬૬ ફોર્મ મંજૂર થયા છે. મંજૂર થયેલા ફોર્મના આધારે બોટાદ જિલ્લાને અંદાજે ૧૬ કરોડ રૂપિયાની શિક્ષણ સહાય ફાળવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૪.૫૦ કરોડ રૂપિયા સંબંધિત શાળાઓના ખાતામાં જમા થઈ ગયા છે, જ્યારે બાકીના આશરે દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળતાં જ ચૂકવવામાં આવશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શંકરભાઈ ધોળુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રત્નકલાકારોના પરિવારોને મોટી રાહત મળી છે અને બાળકોના શિક્ષણ માટેની ચિંતા દૂર થઈ છે. આ શિક્ષણ સહાય શરૂ થતાં બોટાદ જિલ્લાના રત્નકલાકારોમાં સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રવર્તી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:42 pm

બગદાણા હુમલા કેસમાં કોળી સમાજની આત્મવિલોપનની ચીમકી:નવનીત બાલધીયા પર જીવલેણ હુમલાના મુખ્ય આરોપી પર કાર્યવાહી નહીં થાય તો 15 તારીખે આગેવાનો આત્મવિલોપન કરશે

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલોની ઘટનામાં નવનીત બાલધીયાની ન્યાયની માંગ સાથે કોળી સમાજના 15થી વધુ આગેવાનો દ્વારા તા.15 એ બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. કોળી સમાજના ગ્રુપમાં એક પોસ્ટ વાઇરલ થઈમહુવા તાલુકાના બગદાણા ગામના કોળી યુવાન નવનીત બાલધીયા ઉપર થોડા દિવસ પૂર્વે મોડી રાત્રીના અરસા દરમિયાન જીવલેણ હુમલાની ઘટના ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે આજરોજ ભાવનગરના કોળી સમાજના ગ્રુપમાં એક પોસ્ટ વાઇરલ થઈ છે, જેમાં બગદાણાના નવનીતભાઈ ને ન્યાય નહિ મળે તો આગામી તા.15ના રોજ અંદાજિત 16 જેટલા કોળી સમાજના આગેવાનો, કાર્યકરો દ્વારા બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. 15 તારીખે બગદાણા ખાતે આત્મવિલોપન કરવા અમારી તૈયારીજ્યારે આ અંગે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના શહેરના મહામંત્રી મુકેશ મેટલીયા જણાવ્યું હતું કે, બગદાણાની અંદર અમારા સમાજના યુવા આગેવાન નવનીતને ઢોર મારવામાં આવ્યો છે. એની અંદર નવનીત ભાઈ મુખ્ય આરોપીનું નામ જોગ આપે છે કે, જયરાજ આહીર છે. આ તમામ કાવતરું કરનાર પોતે નવનીતભાઈ કહે છે અને કોઈ જાતની એની ઉપર કોઈ તપાસ કે કોઈ કાર્યવાહી નથી થતી. એ અમારી મોટી માંગ છે. અમે 14 તારીખ સુધી રાહ જોવાના છીએ. તારીખ 15ના બપોરે 11 વાગ્યે બગદાણા ખાતે આત્મવિલોપન કરવા અમારી તૈયારી છે. અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ લડત લડવાના છીએવધુમાં જણાવ્યું હતું કે, SIT ટીમની તપાસ કરી રહી છે, એમની ઉપર પણ અમને ભરોસો છે પણ 14 તારીખ સુધીમાં કોઈ ન્યાય નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું. અત્યારે હાલ 14થી 15 લોકો છે અને તેમાં ભાવનગર જિલ્લાના અને બહારના પણ છે. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ લડત લડવાના છીએ. મુખ્ય માંગણી છે કે, જે મુખ્ય આરોપી હોય એને છાવરવામાં આવે છે, એનું FIRમાં નામ આવે અને એની પૂછપરછ થાય, તે અમારી માંગણી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:41 pm

મકરસંક્રાંતિ પર્વને લઈ વેરાવળ પોલીસ એક્શન મોડમાં:શાંતિ સમિતિ બેઠક યોજી, શહેરમાં ફૂટ માર્ચથી સુરક્ષાનો સંદેશ

વેરાવળ પોલીસે આગામી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને શહેરમાં ફૂટ માર્ચ પણ કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન શાંતિ, સદભાવ અને ભાઈચારો જાળવવાનો હતો. આ બેઠકમાં પતંગ ઉડાવતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને જાહેર માર્ગો પર અવરોધ ન સર્જાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક બાદ વેરાવળ સીટી પોલીસે શહેરના મુખ્ય બજારો, વ્યસ્ત વિસ્તારો અને રાજમાર્ગો પર ફૂટ માર્ચ યોજી હતી. આ ફૂટ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને કાયદાભંગ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો હતો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી હતી. તહેવારો દરમિયાન વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ આયોજન કરાયું છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને મોબાઇલ પેટ્રોલિંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ નાગરિકોને મકરસંક્રાંતિ સહિતના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ તેમણે જણાવ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે આગામી મકરસંક્રાંતિ પર્વ નાગરિકો આનંદ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકે તે માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:36 pm

રાપર પોલીસની ચાઇનીઝ દોરાના વેચાણ પર કાર્યવાહી:દુકાનમાંથી 120 રીલ જપ્ત કરી, એક આરોપીની ધરપકડ

રાપર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વેચાણ પર કાર્યવાહી કરી છે. પોલીસે એક દુકાનમાંથી 60,000 રૂપિયાની કિંમતની 120 રીલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ દોરી શોધી કાઢવા માટે સૂચનાઓ અપાઈ હતી. રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયાને ખાનગી બાતમી મળી હતી કે પાર્થ પ્રકાશભાઈ માલી (ઉં.વ. 23, રહે. અયોધ્યાપુરી, રાપર) તેની માલીચોકમાં આવેલી ટોપટેન નામની કપડાની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાર્થ માલી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 120 રીલ મળી આવી હતી, જેની કિંમત 60,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે પાર્થ માલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હેમંત ચૌહાણ (રહે. તકિયાવાસ, રાપર, વરરાજા ગેલેરી નામની દુકાનવાળો) નામનો એક આરોપી હાજર મળી આવ્યો ન હતો અને તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડીયા અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:35 pm

સાબરમતી રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાયો:હેરિટેજ થીમ આકર્ષણનું કેન્દ્ર બની, 50 દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી, હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે. આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશેદર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે. અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની નગરજનોને આકર્ષિત કરી રહી છે. દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશેઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારના રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશેઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સાંજે 07:00 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. આ માટેનું બુકિંગ ઓનલાઈન 'બુક માય શો'ની વેબસાઇટ (https://in.bookmyshow.com/) તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે. પતંગોત્સવ દરમિયાન ખાદ્ય અને હસ્તકલા સ્ટોલ, કાઇટ ફ્લાયિંગ નું અવલોકન તથા પતંગ વર્કશોપ જેવા આકર્ષણો સૌ કોઇ મુલાકાતી ઓ માટે ખુલ્લા રહેશે. 5 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત મુલાકાતે આવવાનું અનુમાન‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવવાનું અનુમાન છે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:20 pm

TRB જવાનના દૈનિક માનદ વેતનમાં રૂ. 150નો વધારો:300 રૂપિયાથી વધારીને 450 કરવામાં આવ્યું, 10,000 જવાનોને ફાયદો થશે

ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.300થી વધારીને હવે રૂ.450 આપવા આવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે. રાજ્યના TRB જવાનો માટે એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણયમુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે, જે આજથી અમલી બનશે.આ નિર્ણયથી 10,000થી વધુ TRB પરિવારોને સીધો લાભ મળશે.— Harsh Sanghavi (@sanghaviharsh) January 12, 2026 ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના વર્ષ ૨૦૧૮ ના ઠરાવ મુજબ અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.રાજ્ય સરકાર દ્વારા આ વેતન વધારીને હવે પ્રતિદિન રૂ. ૪૫૦ કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના અંદાજે ૧૦,૦૦૦ થી વધુ ટી.આર.બી. જવાનો અને તેમના પરિવારને મળશે. રાજ્ય સરકારના આ સંવેદનાત્મક અભિગમ સાથે લેવાયેલા નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે, જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે આર્થિક રીતે પ્રોત્સાહક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:18 pm

ગોધરામાં 'ઓપરેશન સિંદૂર' પતંગોનો સ્ટોક ખાલી:દેશભક્તિ થીમના પતંગ-માઝાની ભારે માગ

ઉત્તરાયણ પર્વ નજીક આવતા પંચમહાલના ગોધરા શહેરમાં પતંગ બજારમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 'ઓપરેશન સિંદૂર' થીમ પર આધારિત પતંગો અને માઝાની ભારે માંગ છે, જેના કારણે વેપારીઓ પાસે સ્ટોક ખૂટી પડ્યો છે. દેશભક્તિ અને ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી આ થીમ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. સામાન્ય રીતે ફિલ્મી સિતારાઓ કે કાર્ટૂન કેરેક્ટરના પતંગોની માંગ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ગોધરાના યુવાનોમાં દેશભક્તિનો રંગ છવાયો છે. ગોધરાનું પતંગ બજાર હાલ ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન સિંદૂર' થીમના પતંગો અને માઝાનો સ્ટોક દુકાને આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં વેચાઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:11 pm

મતદારો ECINET પોર્ટલ પર આધાર-પુરાવા રજૂ કરી શકશે:નોટિસ મળેલ મતદારોએ સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત

બનાસકાંઠામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત નોટિસ મળેલ મતદારો હવે ECINET પોર્ટલ પર તેમના આધાર-પુરાવા ઓનલાઈન રજૂ કરી શકશે. જોકે, પુરાવા અપલોડ કર્યા બાદ પણ સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા દ્વારા જણાવાયું છે કે, આ કાર્યક્રમ હેઠળ 19 ડિસેમ્બર, 2025 ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 'નો મેપિંગ' યાદીમાં સમાવિષ્ટ મતદારોને હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા તેમજ સુનાવણી માટે નોટિસ પાઠવવામાં આવી છે. જે મતદારોને સુનાવણી માટે નોટિસ આપવામાં આવી છે, તેઓ ECINET પોર્ટલ પર Submit Document Against Notice Issued વિકલ્પમાં પોતાના આધાર-પુરાવા E-sign કરીને અપલોડ કરી શકે છે. જોકે, અહીં એ નોંધવું અત્યંત આવશ્યક છે કે, ઓનલાઈન આધાર-પુરાવા અપલોડ કર્યા પછી પણ સંબંધિત મતદારોએ સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવું પડશે. આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્રતા ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ થવાથી રહી ન જાય અને કોઈ પણ અપાત્ર મતદારનો સમાવેશ ન થાય.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 9:04 pm

ગુગલ પર 'મની એક્સચેન્જ' સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ:એક રાજ્યમાં ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે આરોપીઓ હજારો કિલોમીટર દૂર અન્ય રાજ્યમાં જતા રહેતા

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરીને ઉત્તર પ્રદેશની એક ખતરનાક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને મોટા શહેરોમાં મની એક્સચેન્જની દુકાનોમાં ઘરફોડ ચોરી કરવામાં માહેર હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અલથાણ વિસ્તારની એક હોટલમાંથી આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી ટાર્ગેટ નક્કી કરવાની અનોખી 'MO'આ ગેંગની કામ કરવાની પદ્ધતિ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ કોઈપણ નવા શહેરમાં જઈને સૌ પ્રથમ ગૂગલ સર્ચ એન્જિન પર 'Money Exchange Near Me' સર્ચ કરતા હતા. તેમને ખબર હતી કે આવી દુકાનોમાં મોટી માત્રામાં રોકડ રકમ ઉપલબ્ધ હોય છે. ગૂગલ દ્વારા લોકેશન મેળવી તેઓ દિવસ દરમિયાન રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા. લોખંડના સળિયાથી મિનિટોમાં તાળા તોડતાઆરોપીઓ પોતાની પાસે લોખંડના મજબૂત સળિયા રાખતા હતા. ટાર્ગેટ નક્કી થયા બાદ મોડી રાત્રે દુકાનોના શટર અથવા દરવાજાના તાળા સળિયા વડે તોડી તેઓ અંદર પ્રવેશતા હતા. માત્ર રોકડ રકમની જ ચોરી કરવી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેથી ભાગવામાં સરળતા રહે અને માલ સગેવગે કરવાની માથાકૂટ ન રહે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગતોક્રાઈમ બ્રાન્ચે જે ચાર આરોપીઓને પકડ્યા છે તેમાં (1) રિકુ અમરસિંગ ચૌહાણ, (2) યોગેશકુમાર રાજવીરસીંગ ઠાકુર, (3) જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપુત અને (3) અભિષેક હરીન્દ્રસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને પરસ્પર મિત્રો છે. સુરતમાં મોટી ચોરી કરે તે પહેલા જ પકડાયાઆ ગેંગ તાજેતરમાં જ તમિલનાડુના ચેન્નઈમાં ચોરી કરીને ટ્રેન મારફતે સુરત આવી હતી. તેઓ સુરતમાં પણ મની એક્સચેન્જની ઓફિસો ગૂગલ પર સર્ચ કરી તેને તોડવાની ફિરાકમાં હતા. જોકે, સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ હોટલ અલથાણ રૂમ્સમાંથી પકડાઈ ગયા હતા. મુદ્દામાલ અને જપ્ત કરેલી ચીજવસ્તુપોલીસે આરોપીઓ પાસેથી ચોરીના રોકડા 23,000 રૂપિયા અને 50,000 રૂપિયાની કિંમતના ૩ મોબાઈલ ફોન મળી કુલ 73,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ રકમ તેઓએ ચેન્નઈની દુકાનમાંથી ચોરેલી રકમનો બાકી રહેલો ભાગ હતો. દિલ્હીથી ચેન્નઈ સુધી ચોરીને અંજામ આપ્યોઆરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ દિલ્હી, નોઈડા, હૈદરાબાદ, સિકંદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં ચોરી કરી ચૂક્યા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ તેઓએ હૈદરાબાદ મેટ્રો સ્ટેશન પાસે બે મની એક્સચેન્જની દુકાનો તોડી હતી અને ત્યારબાદ ચેન્નઈમાં 'જે.એસ.એમ. ફોરેક્સ' માંથી 24,000 રૂપિયાની ચોરી કરી હતી. આરોપી રિકુ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસગેંગનો મુખ્ય સાગરીત રિકુ અમરસિંગ ચૌહાણ રીઢો ગુનેગાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના પર અગાઉ 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ પણ અગાઉ ફરીદાબાદ, સાકેત અને નોઈડામાં લાખોની ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરી પોલીસને થાપ આપતા ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, આ ગેંગ એક રાજ્યમાં ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે હજારો કિલોમીટર દૂર બીજા રાજ્યમાં જતી રહેતી હતી. તેઓ સતત મુસાફરીમાં રહીને અલગ-અલગ શહેરોને નિશાન બનાવતા હતા, જેના કારણે સ્થાનિક પોલીસ માટે તેમને ટ્રેસ કરવા મુશ્કેલ બનતું હતું. કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડની ચોરીમાં પણ સંડોવણીમાત્ર દુકાનો જ નહીં, આ ગેંગે ગાઝિયાબાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ત્રણ વખત લોખંડની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના રિમાન્ડ મેળવી અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:54 pm

મુખ્યમંત્રીની જર્મન બિઝનેસ ડેલિગેશન સાથે બેઠક:ઉદ્યોગ, રોકાણ અને ટેકનોલોજી સહકારને લઈ ચર્ચા કરાઈ, જર્મન રોકાણ માટે ખાસ હેલ્પડેસ્ક શરૂ થશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફના નેતૃત્વ હેઠળ આવેલા જર્મન બિઝનેસ ડેલિગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ભારત–જર્મન CEO ફોરમ અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા આ ડેલિગેશન સાથે ઉદ્યોગ, રોકાણ અને ટેકનોલોજી સહકારને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જર્મન રોકાણ માટે ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવા સૂચનામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતના GDP ગ્રોથમાં ગુજરાતનો 8 ટકાથી વધુનું યોગદાન રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા અને પોલિસી ડ્રિવન ગવર્નન્સને દર્શાવે છે. જર્મનીના ઉદ્યોગોએ ગુજરાતમાં જે વિશ્વાસ મૂક્યો છે તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. જર્મન ઉદ્યોગોના રોકાણોને વધુ સરળ અને સુવિધાપૂર્ણ બનાવવા માટે ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવાની દિશામાં પણ સૂચના આપવામાં આવી છે. જર્મની પોતાની સપ્લાય ચેઈન ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે: સ્ટેટ સેક્રેટરીડેલિગેશનના સભ્યોએ ખાસ કરીને SME સેક્ટર, રિન્યુએબલ એનર્જી અને સપ્લાય ચેઈનમાં ગુજરાત સાથે સહયોગ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી. જર્મન સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફે જણાવ્યું કે, જર્મની પોતાની સપ્લાય ચેઈન ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે અને તેમાં ગુજરાત લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને ઇકોનોમિક ફ્રેમવર્કના મજબૂત આધાર સાથે મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે. IT જેવી સેક્ટર સ્પેસિફિક પોલિસીઓ જર્મન ઉદ્યોગો માટે આકર્ષણનું કેન્દ્રમુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ વિઝન અંતર્ગત ગુજરાત આગેવાની લેવા તૈયાર છે. 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય, 6 રિજનલ ગ્રોથ હબ અને ફોકસ સેક્ટર આધારિત વિકાસથી રાજ્ય નવી તકો સર્જી રહ્યું છે. હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, IT જેવી સેક્ટર સ્પેસિફિક પોલિસીઓ જર્મન ઉદ્યોગો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ટેકનોલોજીમાં જર્મનીની નિપુણતાનો લાભ ગુજરાતને મળેબેઠક દરમિયાન સિમેન્સના CEO રોનાલ્ડ બુશે પણ ગુજરાતમાં SME અને સપ્લાય ચેઈન ડેવલપમેન્ટ માટે જર્મન ઉદ્યોગોની ભાગીદારી અંગે સૂચનો આપ્યા. પ્રિસિઝન એન્જિનિયરિંગ અને અદ્યતન ટેકનોલોજીમાં જર્મનીની નિપુણતાનો લાભ ગુજરાતને મળે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી. 30થી વધુ ઉદ્યોગપતિઓ અને રોકાણકારોએ ભાગ લીધોઆ બેઠકમાં જર્મનીના 30થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારોએ ભાગ લીધો હતો. તમામ ડેલીગેશન સભ્યોએ ગુજરાતના ઉદ્યોગમૈત્રી વાતાવરણ અને આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:52 pm

કઠવાડામાં પતંગના સ્ટોલ પાસે કરંટ લાગતા ત્રણ સગીર ઘાયલ:એકનું મોત, નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી

શહેરના કઠવાડા વિસ્તારમાં એક પતંગના સ્ટોલ સાથે કાર અથડાતા સ્ટોલ પડી ગયો હતો. આ સ્ટોલને ફરીથી સરખો કરતી વખતે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરનો કરંટ લાગતા ત્રણ સગીર મિત્રોને કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં એક સગીરનું સારવાર દરમ્યાન મોત થયું છે, જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કઠવાડા સિંગરવા રોડ પાસે આવેલી સોસાયટી આગળ પતંગનો એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. પતંગનો સ્ટોલ સરખો કરતી સમયે વીજકરંટ લાગતા મોતશુક્રવારે ત્રણ સગીર મિત્રો સ્ટોલમાં આરામ કરી રહ્યા હતા. એ દરમિયાન પુરઝડપે આવી રહેલી એક કાર સ્ટોલના થાંભલા સાથે અથડાઈ ગઈ, જેના કારણે સ્ટોલ નીચે પડી ગયો હતો.આ પછી ત્રણેય સગીર મિત્રો સ્ટોલનો મંડપ ફરીથી સરખો કરવા ગયા હતા. ત્યારે મંડપમાં ખુલ્લો પડેલો ઇલેક્ટ્રિક વાયર તેમની પાસે આવી ગયો અને ત્રણેયને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 16 વર્ષીય સગીરનું મોત થયું હતું. જ્યારે અન્ય બે સગીરની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં કાર ચલાવનારનું નામ ધર્મેશ ચુનારા હોવાનું સામે આવ્યું છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:30 pm

OLX પર જાહેરાત જોઈ ચોરીને અંજામ આપતો ગઠિયો ઝડપાયો:વસ્તુ લેવાના બહાને ઘરમાં પ્રવેશી નજર ચૂકવી ચોરી કરી લેતો, દિલ્હીમાં અડધા ભાવે વેચી નાખતો

રાજ્યના અલગ અલગ શહેરોમાં OLX પર ચીજવસ્તુઓ વેચવા મૂકનારનો સંપર્ક કરીને તેમના ઘર સુધી પહોચીને નજરચૂકવીને ચીજવસ્તુ લઇને ફરાર થઈ જતા ગઠિયાને ઝોન-5 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે આરોપી પાસેથી 15.87 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આરોપીની પૂછપરછ કરતા તે ઘોરણ-7 સુધી ભણેલ અને ગુનાને અંજામ આપવા માટે ફોનમાં વાઇફાઇનો ઉપયોગ કરતો હતો.આરોપી ચોરીના માલ અડધી કિંમતે દિલ્હી ચોર માર્કેટમાં વેચી દેતો હતો. OLX પર જાહેરાત જોઈ વસ્તુ ખરીદીના બહાને પહોંચી જતોઝોન 5 એલસીબીએ બાતમીના આધારે એક ઠગબાજ 42 વર્ષીય સુરેશ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા સુરેશ વેબસાઈટ પર જયારે પણ કોઈ વ્યક્તિ પોતાની જૂની ચીજવસ્તુ વેચવા મુકે એટલે તેની પાસે રહેલા ડમી નંબરથી ફોન કરતો હતો. અને બાદમાં રૂબરૂ મળવા જઈને વેચાણ માટે મુકવામાં આવેલી વસ્તુ જોઈ આવતો હતો. ત્યારબાદ વેચવા મુકનાર વ્યક્તિની તમામ માહિતી એકત્ર કરીને જયારે વ્યક્તિ ઘરે હાજર હોય નહી ત્યારે તેના ઘરે જઈને વસ્તુ ચોરી કરી લેતો રૂપિયા ઓનલાઈન આપી દઈશ અથવા તો કેટલાક સંજોગોમાં તો નજર ચૂકવીને પણ ચોરી કરી લેતો હતો. ત્યારે આરોપીને ઝડપીને પોલીસે 5 વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ચોરીનો માલ દિલ્હીમાં અડધા ભાવે વેચી નાખતોનારોલ, ચાંદખેડા, ઓઢવ, વડોદરા, ભરૂચ, સુરત સહીતના પોલીસ સ્ટેશનમાં માસ્ટર માઈન્ડ ચોરી વિરુદ્ધ વિશ્વાસઘાત અને નજર ચૂકવીને ચોરી કરી હોવાના જુદા-જુદા 8 ગુના નોંધાઈ ચુક્યા હતા.પોલીસે આરોપી પાસેથી 15.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ આરોપી સુરેશ ચોરી કરેલ ચીજવસ્તુઓ દિલ્હીમાં ચોર માર્કેટમાં તેના સાગરિતને અડધા ભાવે વેચતો હતો. તેમાં તે કુરિયર કરાવતો હતો બાદમાં તેના રૂપિયા તે ઓનલાઇન મેળવતો હોવાનું સામે આવ્યુ છે. આગામી સમયમાં પોલીસ દ્વારા દિલ્હી સુધી તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:28 pm

‘જન આક્રોશ યાત્રા’ના સમાપનમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે:અમદાવાદના વિરોચનનગરથી ત્રીજો તબક્કાની યાત્રાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રસ્થાન કરાવશે, સુરેન્દ્રનગરમાં જનસભા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના વિરોચનનગરથી થશે. આ યાત્રાના આયોજન અને પૂર્ણાહુતિના કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ હતી. બોટાદ ક્રોંગ્રેસ દ્વારા આજે તાકીદની કારોબારી બોલાવાઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા‘જન આક્રોશ યાત્રા’ના ત્રીજા તબક્કાના સમાપનમાં લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી હાજરી આપશે તેવી જાહેરાત કરાઈ હતી. અમદાવાદથી શરૂ થયેલી યાત્રા ભાવનગર, અમરેલી, બોટાદ થઈને સુરેન્દ્રનગર પહોંચશે. 2026માં રાહુલ ગાંધીની ગુજરાતની પહેલી જાહેર સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. યાત્રાનો રૂટ અને આયોજનઆ યાત્રા અમદાવાદથી પ્રસ્થાન કરી ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાંથી પસાર થશે. ત્યારબાદ યાત્રા બોટાદ જિલ્લામાં પ્રવેશ કરશે અને અંતે સુરેન્દ્રનગર જિલ્લામાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજ્યના વરિષ્ઠ આગેવાનો જોડાશે. રાહુલ ગાંધીની વિશાળ જનસભાયાત્રાના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે અને સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેદની એકઠી કરવા માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. બોટાદમાં કાર્યકરોની બેઠકબોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પ્રમુખ હિંમત કટારીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશ શીલું, પૂર્વ પ્રમુખ રમેશ મેર અને જગદીશ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લાના મહામંત્રીઓ, ઉપપ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. જનતાના પ્રશ્નો પર ભારકોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય હેતુ જનતાના પડતર પ્રશ્નો અને સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. યાત્રાને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે કાર્યકરોને પાયાના સ્તરે તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:12 pm

ગોધરામાં રક્તદાન કેમ્પ:30 યુનિટ રક્ત એકત્ર કરાયું, ડૉ. અપેક્ષા શર્માના જન્મદિને ઇન્ડિયન રેડક્રોસ દ્વારા આયોજન

ગોધરામાં ડૉ. અપેક્ષા શર્માના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ ૩૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પંચમહાલ જિલ્લા શાખા ગોધરા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આ વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ ગોધરા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયો હતો. રક્તદાતાઓના ઉત્સાહભર્યા સહયોગથી આ રક્ત એકત્રિત થયું. ડૉ. અપેક્ષા શર્માએ પોતાના જન્મદિવસની ઉજવણી સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન દ્વારા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રક્તદાન એ માનવતાની સૌથી મોટી સેવા છે અને તેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવી શકાય છે. આ કાર્યક્રમમાં સોસાયટીના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને અકસ્માત જેવી ઇમરજન્સી સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થશે. રેડક્રોસ સોસાયટી પંચમહાલ શાખાએ આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 8:12 pm

જૂનાગઢ જેલમાં અમદાવાદ જડતી સ્ક્વોડનો દરોડો:​જૂનાગઢ જિલ્લા જેલની બેરેક નંબર-1 પાસેથી બે સિમકાર્ડ મળતા જેલ પ્રશાસન હરકતમાં, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ.

જેલની ઉંચી દીવાલો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જૂનાગઢ જિલ્લા જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ જડતી જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના કમ્પાઉન્ડમાંથી બે સિમકાર્ડ મળી આવ્યા છે. અમદાવાદ જડતી જેલની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને કેદીઓ પાસે કોઈ વાંધાજનક વસ્તુઓ નથી તેની ખાતરી કરવા માટે આ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીમ જ્યારે બેરેક નંબર 1 પાસે તપાસ કરી રહી હતી ત્યારે ત્યાંથી બે બિનવારસી સિમકાર્ડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન મળી આવેલા બંને સિમકાર્ડ અલગ અલગ કંપનીના હોવાનું બહાર આવ્યું છે. આ સિમકાર્ડ જેલની અંદર કેવી રીતે પહોંચ્યા, કોણ લાવ્યું અને કયા કેદીઓ તેનો ઉપયોગ કરતા હતા તે અત્યારે તપાસનો વિષય બન્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈને જેલ સત્તાધીશો દ્વારા જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસ હવે આ બંને સિમકાર્ડના સીડીઆર કઢાવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ડેટા પરથી એ જાણી શકાશે કે જેલની અંદર બેસીને કયા કયા નંબરો પર વાત કરવામાં આવી હતી અને આ કાર્ડનો માલિક કોણ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:56 pm

Editor's View: ટ્રમ્પનું મિશન વેનેઝુએલા:પેટ્રો ડોલર માટે ખેલ પાડ્યો, પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઈ શકે, આડોડાઇથી ગુજરાતને મોટો ફટકો પડી શકે

માની લો કે તમે અમદાવાદના એસજી હાઈવે પર બેસીને નિફ્ટીના ઓપ્શન ટ્રેડ કરી રહ્યા છો કે સુરતના વરાછામાં બેસીને હિરાના સોદા કરી રહ્યા છો. એવામાં અચાનક તમને ખબર પડે કે તમે જે રૂપિયાને ડોલરમાં બદલવાની ગણતરી કરી રહ્યા છો તેની કિંમતો હવે અમેરિકા નહીં પણ ખાડી વિસ્તાર રિયાધ કે ચીનના બેઈજિંગથી નક્કી થશે. જાણીને નવાઈ લાગશે પણ 2024 પછી આ નવી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઈક જેવી ડોલર સામેની ઈકોનોમિક સર્જિકલ સ્ટ્રાઈક છે. જેમાં ભારત અને દુનિયાના અન્ય દેશો હવે ડોલરની દાદાગીરી સામે પોતાનું ચલણ ઉભું કરી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકાએ પેટ્રો ડોલરના જોરે આખી દુનિયાના ધંધા પર દાદાગીરી કરી. પણ અમેરિકાના પેટ્રો ડોલરનો પાયો હવે હચમચી ગયો છે. સાઉદી અરેબિયા હવે આ ઔપચારિક સમજૂતીથી આગળ વધવાની વાત કરી રહ્યું છે. જેના કારણે અમેરિકાને પોતાના ડોલર એકાધિકાર મામલે ફાળ પડી છે. આપણને થાય કે તો તેનાથી મારે શું? તો સાંભળો! આ પેટ્રોડોલરની સીધી અસર આપણા ખિસ્સા, ઘરના રાશન અને ધંધા પર પડવાની છે. આ તેલનું રાજકારણ નથી આ કરન્સી વોર છે. માટે જ અમેરિકાએ વેનેઝુએલાના તેલના કૂવાઓ પર ખેલ પાડી દીધો છે. માટે આજે વિસ્તારે વાત કરીએ પેટ્રો ડોલર અને નવી ઉભી થતી કરન્સીઓ વિશે. નમસ્કાર.... અમેરિકા આજે 38.4 ટ્રિલિયન ડોલરના દેવા નીચે દબાયેલું છે. આ આંકડો અમેરિકાના કુલ જીડીપીના 124% થી પણ વધુ છે. તેનો અર્થ એ કે અમેરિકા જેટલું કમાય છે તેના કરતા સવા ગણું તો તેના પર દેવું છે. આ દેવાનું વ્યાજ ચૂકવવા માટે જ તેણે દર વર્ષે અબજો ડોલરના નવા બોન્ડ્સ બહાર પાડવા પડે છે, જે દુનિયાના દેશો ત્યારે જ ખરીદશે જો ડોલરનું ડોમિનન્સ ટકી રહે. તેલ નહીં પણ ડોલર માટે વેનેઝુએલાનો ખેલ પાડ્યો આપણે બધા જ જાણીએ છીએ કે તેલનો વેપાર ખાલી ડોલરમાં જ થાય છે. પણ હવે તે અમેરિકા-સાઉદીવાળી પેટ્રો ડોલરની ઔપચારિક સમજૂતી નથી રહી. સાઉદીએ હવે આ પરંપરાગત સમજૂતીથી આગળ વધીને નવા વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે. સાઉદી અને અમેરિકા વચ્ચે પેટ્રોડોલર વેપાર જ નહીં થાય તેવું પણ નથી. સાઉદી માત્ર વિકલ્પો શોધી રહ્યું છે. જો દુનિયા તેલ ખરીદવા માટે ડોલરનો ઉપયોગ જ બંધ કરી દે તો અમેરિકા પાસે પોતાના દેવા ચૂકવવાનો કોઈ રસ્તો જ નહીં રહે. માટે જ હમણા નવા વર્ષે અમેરિકાએ વેનેઝુએલાને પોતાનું નવું મોહરું બનાવ્યું છે. કારણ કે વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા કરતા પણ વધુ તેલ છે. હવે આ આખી વાતને આપણે 100 ટકા સમજવા માટે 1974ના ફ્લેશબેકમાં જવું પડશે. થયું કંઈક એવું હતું કે 1971માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ડોલરને ગોલ્ડ સ્ટાન્ડર્ડથી અલગ કરી દીધો. જેના કારણે ડોલર માત્ર કાગળનો ટુકડો બની ગયો. પણ ત્યારના અમેરિકાના ચાણક્ય હેનરી કિસિંજરે સાઉદી અરેબિયાના શાહ સાથે એક ગુપ્તો સોદો પાડી દીધો. જો કે તે કોઈ ઓફિશિયલ સોદો ન હતો અને ચોક્કસ સમયસીમા પણ ન હતી. પેટ્રોડોલરનો સોદો શું હતો? અમેરિકાએ સાઉદી અરેબિયાને કહ્યું કે, “તમે તમારું ઓઇલ 50 વર્ષ સુધી માત્ર ડોલરમાં જ વેચો. બદલામાં અમે તમને હથિયાર અને સૈન્ય સુરક્ષા આપીશું.” સાઉદીએ અમેરિકાને તમાચો માર્યો આ કંઈ ખોટનો ધંધો તો હતો નહીં! માટે સાઉદી માની ગયું. જેના કારણે દુનિયાના દરેક દેશને ફરજિયાત ડોલર ખરીદવા પડ્યા. કારણ તો આપણે બધા જાણીએ જ છીએ, કે પેટ્રોલ-ડીઝલ વગર તો કોઈ દેશ ચાલે એમ જ નથી. આ સોદાનું નામ જ હતું પેટ્રો ડોલર. જેના કારણે અમેરિકા દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો વેપારી દેશ બની ગયો. પણ... પણ... પણ... વર્ષ આવ્યું 2024. સાઉદી અરેબિયાએ કહી દીધું કે અમે મલ્ટીપોલર બનીશું. સાઉદી પેટ્રોડોલરથી ઉપર ઉઠ્યું. માત્ર ડોલરમાં જ નહીં પણ ચીની યુઆન, રશિયાના રૂબેલ અને ભારતના રૂપિયામાં અને ડિજિટલ કરન્સીમાં પણ તેલ વેચવાનું શરૂ કરી દીધું. આ તો અમેરિકાના ગાલ પર સાઉદીનો તમતમતો તમાચો હતો. સાઉદી બેવફા તો વેનેઝુએલાને પકડ્યું! પણ અમેરિકા પણ કંઈ ઓછું નથી. સાઉદી બેવફા થયું તો તેણે સમુદ્રી લુટેરા જેક સ્પેરોની જેમ દુનિયાના સૌથી મોટા તેલ રિઝર્વ દેશ શોધવાનું શરૂ કર્યું. ત્યારે અમેરિકાની નજર દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલા પર પડી. વેનેઝુએલા પાસે સાઉદી અરબ કરતા પણ વધારે તેલ છે. પણ અમેરિકાના કમનસીબ કે ત્યાંના રાષ્ટ્રપતિ માદુરો તો અમેરિકાના વિરોધી નીકળ્યા. ડોલરના વર્ચસ્વ માટે અમેરિકાના ધમપછાડા પોતાની વાત મનાવવા માટે અમેરિકાએ વર્ષો સુધી વેનેઝુએલા પર જાત-જાતના પ્રતિબંધો મૂક્યા. અત્યારે વેનેઝુએલા ભૂખમરાંમાં છે તેની પાછળ પણ અમેરિકા જ જવાબદાર છે. અમેરિકાને પોતાની તેલ ભૂખ અને વિશ્વવલ્લભ બનવા માટે વેનેઝુએલામાં પોતાનું પ્યાદું બેસાડવું પડે તેમ જ હતું કારણ કે માદુરો તો અમેરિકાના વિરોધી હતા. તો વર્ષ 2026ના ન્યૂયર સમયે જ અમેરિકાએ વેનેઝુએલાનો ખેલ પાડી દીધો. યુનાઈટેડ નેશન્સના નિયમોને જ લાત મારીને અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને જ તેના દેશમાંથી ઉઠાવી લીધા. આનાથી સાબિત થયું કે અમેરિકા કોઈ પણ ભોગે તેલ સપ્લાય પર પોતાનો કન્ટ્રોલ જમાવી રાખવા માગે છે. ટૂંકમાં આટલી માહિતી પછી આપણને સમજાયું કે, અમેરિકાએ તેલ માટે નહીં પણ તે તેલ ડોલરમાં જ વેચાય તેના માટે ધમપછાડા કર્યા. ડોલરની મોનોપોલી માટે દુનિયાને ધમકી ચાલો, આ આખી ઘટનાને એક ગુજરાતી વેપારીની નજરે સમજીએ. ધંધામાં જ્યારે ગ્રાહક પક્ષ પલટો કરે ત્યારે શેઠ શું કરે? નવો ગ્રાહક શોધવા લાગે. આ ગ્રાહક એટલે સાઉદી, શેઠ એટલે અમેરિકા અને નવો ગ્રાહક એટલે વેનેઝુએલા. અમેરિકાએ ડોલરની મોનોપોલી જાળવી રાખવા માટે દુનિયાને ધાકધમકી આપી અને વેનેઝુએલા મામલે દુનિયાના કોઈ દેશોએ મોઢામાંથી એક શબ્દ પણ ન કાઢ્યો. હવે આ આખા મુદ્દાને આર્થિક, ભૌગોલિક અને રાજકીય નજરે જોઈએ. જો વેનેઝુએલાનું તેલ અમેરિકાના કંટ્રોલમાં આવે, તો તે ગ્લોબલ ઓઈલની પ્રાઈઝ 50 ડોલર સુધી નીચે લાવી શકે છે. આનાથી અમેરિકામાં તો મોંઘવારી ઘટશે જ, પણ બાકીની દુનિયાના તેલ ઉત્પાદક દેશો જેમ કે સાઉદી એ પાયમાલ થઈ જશે. તેલ સસ્તું થાય તો પેટ્રોલ કેટલું સસ્તું? હાલ એક બેરલ ક્રુડ ઓઈલની કિંમત 60 ડોલર આસપાસ છે. SBIની રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં ક્રુડ ઓઈલની પ્રાઈઝ પર બેરલ 50 ડોલર જઈ શકે છે. જો આવું થાય તો બીજું કે, વેનેઝુએલા અમેરિકાથી ખૂબ નજીક છે. ગલ્ફ દેશોમાંથી તેલ લાવવા કરતાં વેનેઝુએલાથી તેલ લાવવું લોજિસ્ટિક્સના એંગલથી અમેરિકાને ખૂબ સસ્તું પડી શકે. આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચાવીને અમેરિકા પોતાની કંપનીઓને નફો કરાવી શકે છે. વેનેઝુએલામાં રશિયા-ચીનના પૈસા ડૂબ્યાં ત્રીજો મુદ્દો એ કે, ચીન અને રશિયાએ વેનેઝુએલામાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. કારણ કે આ ત્રણેય દેશો અમેરિકા વિરોધી છાપ ધરાવે છે. જો અમેરિકા વેનેઝુએલામાં કબજો જમાવે તો રશિયા અને ચીનના પૈસા ડૂબી જાય. ટૂંકમાં અમેરિકાએ એક કાંકરે ત્રણ નિશાન સાધ્યાં. BRICS સામે અમેરિકાનું દબાણ પેટ્રો ડોલર ડીલ પૂરી થયા પછી ઘણા લોકોનું માનવું છે કે ડોલરનું ડેથ નક્કી છે. પણ અમેરિકા અમેરિકા છે. BRICSના દસ દેશો એટલે કે બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા વગેરેએ બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી જેથી ડોલરને નબળો પાડી શકાય. પણ અમેરિકાએ પૂરું જોર લગાવ્યું કે આવું ન થાય. ભારત સાથે આ દેશો ડોલરની જગ્યાએ રૂપિયામાં ક્રુડ ઓઈલ વેચી રહ્યા છે અથવા પેટ્રો ડોલર સિવાયની સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. બ્રિક્સ કરન્સી મામલે હજુ પણ વિચારણા પણ બ્રિક્સ દેશોની કોમન કરન્સીની જાહેરાત હકીકતમાં સક્સેસમાં નથી ફેરવાઈ. અહીં પણ કોમન કરન્સી અને પોતાના દેશની કરન્સી મામલે બ્રિક્સ દેશોમાં મતભેદો છે. આ જોઈને અમેરિકાએ બ્રિક્સ દેશોને પણ ધમકી આપી દીધી કે જો તમે ડોલર સિવાયના નવા ચલણમાં વેપાર કરશો તો અમે તમને ટેરિફના ડુંગર નીચે દબાવી દેશું. જો આવું થાય તો અમેરિકાની ડોલર દાદાગીરી સામે કેવી રીતે જંગ લડાશે તે જોવાનું રહેશે. IMF-IEAનો રિપોર્ટ વૈશ્વની બેંકોમાં ડોલરનું પ્રમાણ 70%થી ઘટીને 58% પર આવી ગયું છે. RBIએ પણ રૂપિયામાં વેપાર કરવા 18થી વધુ દેશો સાથે જોડાણ કર્યું છે. ડોલર ડોમિનન્સી સામેની આ લડાઈથી અમેરિકાને ફફડે છે. ડોલર સામે દુનિયાની લડાઈ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEA અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFના તાજેતરના અહેવાલો મુજબ, વૈશ્વિક કેન્દ્રીય બેંકોમાં ડોલરનું પ્રમાણ 70% થી ઘટીને 58% પર આવી ગયું છે. ભારતની રિઝર્વ બેંક RBI પણ હવે રૂપિયામાં વેપાર કરવા માટે 18 થી વધુ દેશો સાથે જોડાણ કરી ચૂકી છે. ટૂંકમાં ડોલર ડોમિનન્સી સામેની લડાઈની શરૂઆત સારી થઈ છે. આના કારણે અમેરિકા હવે ડરમાં છે. તેલ માટે ડોલર નહીં ચૂકવવા પડે કારણ કે જૂન 2024માં સાઉદી અરેબિયા પ્રોજેક્ટ mBridge માં જોડાયું છે. આ એક એવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે અમેરિકાના કંટ્રોલ વાળી SWIFT સિસ્ટમને બાયપાસ કરે છે. સાવ સાદી રીતે સમજાવું તો, આ એક એવો હાઈવે છે જેમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે ટોલ ટેક્સ તરીકે ડોલર ચૂકવવો નહીં પડે. આ પ્લેટફોર્મ પર સાઉદી, ચીન, UAE અને હોંગકોંગ સીધા જ પોતાની ડિજિટલ કરન્સી (CBDC) માં સોદા કરી શકશે. તેલ અને દુનિયાનો ખેલ જ્યારે વોશિંગ્ટનમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે છે અથવા વેનેઝુએલા પર પ્રતિબંધ મુકે છે, ત્યારે તેની અસર વડોદરાના એક મધ્યમ વર્ગના માણસના હોમ લોનના હપ્તા EMI પર પણ પડે છે. ડોલર મજબૂત થાય તો આપણો રૂપિયો નબળો પડે, રૂપિયો નબળો પડે એટલે આયાતી સામાન જેમ કે ખાવાનું તેલ અને ક્રૂડ મોંઘું થાય, અને અંતે તમારા રસોડાનું બજેટ ખોરવાય. આને કહેવાય ગ્લોબલ ફિનાન્સિયલ ઈન્ટરકનેક્ટિવિટી'. ગુજરાત પર થનાર અસરોની વાત કરીએ તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને તેલ ડોલરના યુદ્ધમાં ગુજરાત આગળ છે. વેનેઝુએલાનું હેવી ક્રુડ રિલાયન્સ અને નાયરા જેવી રિફાઈનરી માટે અમૃત સમાન કહી શકાય. જો અમેરિકા વેનેઝુએલા પર દબાણ કરે અને ભારતને તેલ લેતા રોકે તો દેશની અને ગુજરાતની રિફાઈનરીના માર્જિન પર સીધો ફટકો પડે. સુરતના હિરા કારખાનેદારને નફા પર પણ અસર થતાય. કુદરતી ગેસના ભાવ વધે તો મોરબીના સિરામિક ઉદ્યોગને પણ અસર પડી શકે. આ બધાની અસર ગુજરાતની ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ પર પણ પડી શકે. વિશ્વના બે આર્થિક ટુકડાં થઈ શકે ત્યારે સવાલ થાય કે અમેરિકાની આર્થિક દાદાગીરી સામે હવે શું થશે? મને લાગે છે કે બની શકે કે ભવિષ્યના સમયે આ મામલે વિશ્વના બે આર્થિક ટુકડા થતા જોવા મળે. એકબાજુ અમેરિકા યુરોપ જેવા ડોલર બ્લોક દેશો અને બીજી બાજુ બ્રિક્સ જેવા દેશોનું કોમોડિટી બ્લોક ઉભું થઈ શકે. ભારત બે પથ્થર વચ્ચે ફસાયું ભારત જશે કોમોડિટી બ્લોક તરફ પણ જો ભારત ચાલાકીથી કામ લે, તો તે બંને બ્લોક વચ્ચે બ્રિજ પણ બની શકે છે અને રૂપિયાને બંને બાજુંનું એક સ્ટેબલ પણ ચલણ બનાવી શકે છે. માટે ભારત અત્યારે બે પથ્થર વચ્ચે છે, એકબાજુ રશિયા સાથે દોસ્તી અને બીજી બાજુ અમેરિકા સાથેનો મસમોટો વેપાર. પણ જો આપણે અમેરિકાના ટેરિફ વોરમાં ફસાઈ ગયા, તો આપણી નિકાસને મોટો ફટકો પડી શકે છે. માટે હવે દુનિયા અમેરિકા અને યુરોપ જેવા G7 દેશોની મનમાની નથી સહન કરી રહ્યું. દુનિયા હવે બ્રિક્સ બ્લોક તરફ આગળ વધી રહી છે. બંનેની કમ્પેરિઝન કરીએ તો અને છેલ્લે.... અમેરિકાએ કહ્યું છે કે તે વેનેઝુએલાનું તેલ ભારતને વેચશે, ટ્રમ્પની મોટી ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત થયા બાદ આ નિવેદન સામે આવ્યું છે. જોવા જેવી વાત તો એ છે કે વેચાણનો નફો અમેરિકા કન્ટ્રોલ કરશે. આ કરવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં 9 લાખ કરોડના રોકાણની પણ યોજના બનાવી છે. આ તેલ ખરીદવા માટે રિલાયન્સ પણ લાઈનમાં લાગ્યું છે. પણ અમેરિકાએ એ ન ભૂલવું જોઈએ કે સત્તાનો અહંકાર અને વર્ચસ્વ કાયમી નથી. શક્તિશાળી રોમન સામ્રાજ્યના સિક્કા હાલ મ્યુઝિમમાં ધૂળ ખાતા જોવા મળે છે. જે ગવાહ છે કે વર્ચસ્વ કાયમી નથી રહેતું. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:55 pm

પોરબંદર ST ડેપોના અધિકારીએ iPhone પરત કર્યો:વિદ્યાર્થીનો રૂ. 1.20 લાખનો ફોન મૂળ માલિકને સુપરત કરાયો

પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એસ.ટી. બસમાં રહી ગયેલો રૂ. 1,20,000 કિંમતનો આઈ-ફોન 13 પ્રો તેના મૂળ માલિક, એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીને સન્માનપૂર્વક પરત કર્યો છે. આ ઘટનાની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. આ ઘટના આજે બની હતી. વનાણા સ્થિત મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભૂતિયા કિશને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે તાલીમ પૂર્ણ કરી એસ.ટી. બસ મારફતે મેડિકલ કોલેજ પરત ફર્યા હતા. મેડિકલ કોલેજ ખાતે ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમનો કિંમતી આઈ-ફોન ક્યાંક ખોવાઈ ગયો છે. તે જ સમયે, એસ.ટી. ડેપોના વર્કશોપમાં નિયમિત તપાસ દરમિયાન એક બસમાંથી આઈ-ફોન મળી આવ્યો હતો. વર્કશોપના કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતની જાણ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને કરી હતી. સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણીએ અન્ય તમામ કામગીરી બાજુએ રાખી તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન ડો. મયંક જાવિયા સાથે સંપર્ક સાધી, બસમાંથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો મોબાઇલ મળી આવ્યો હોવાની જાણ કરી હતી. તેમણે યોગ્ય આધાર પુરાવા સાથે મૂળ માલિકને મોબાઇલ લઈ જવા સૂચના આપી હતી. આ બાદ ખાતરી થતાં કે મોબાઇલ એમ.બી.બી.એસ. ફાઇનલ વર્ષના વિદ્યાર્થી ભૂતિયા કિશન હિતેશભાઈનો જ છે, ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ વિદ્યાર્થીને પોરબંદર એસ.ટી. ડેપો ખાતે બોલાવ્યા. તમામ ચકાસણી પૂર્ણ કરી, તેમનો રૂ. ૧,૨૦,૦૦૦/- કિંમતનો આઈ-ફોન ૧૩ પ્રો સન્માનપૂર્વક પરત કર્યો હતો. સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણી દ્વારા દાખવવામાં આવેલી આ પ્રમાણિકતા અને માનવતાભરી કામગીરીને લઈને મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં વ્યાપક પ્રશંસા જોવા મળી રહી છે. આ ઘટના એસ.ટી. તંત્રની વિશ્વસનીયતા અને કર્મચારીઓની ફરજ નિષ્ઠાનું જીવંત ઉદાહરણ બની છે. આ પ્રસંગે પોરબંદર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર પી.બી. મકવાણા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વર્કશોપના ફરજ નિષ્ઠ કર્મચારીઓ અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:41 pm

નસવાડી સમરસ કન્યા છાત્રાલય મુદ્દે વિદ્યાર્થી સંગઠન આકરાપાણીએ:પુરુષ વોર્ડન દ્વારા સંચાલનના વિરોધમાં ABVP દ્વારા આક્રમક પ્રદર્શન અને ધરણા, TDO કચેરીએ આવેદનપત્ર સુપરત

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલી સમરસ કન્યા છાત્રાલયમાં લાંબા સમયથી મહિલા વોર્ડનની ગેરહાજરી અને પુરુષ વોર્ડન દ્વારા થતા સંચાલનના વિરોધમાં ABVP દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું. મુખ્ય વિવાદ અને રજૂઆતનસવાડીની આ કન્યા છાત્રાલયમાં લાંબા સમયથી ગૃહમાતા (મહિલા વોર્ડન) ની જગ્યા ખાલી પડી છે. આ ખાલી જગ્યાને કારણે કુમાર છાત્રાલયના ગૃહપતિ (પુરુષ વોર્ડન) ને કન્યા છાત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. ABVP ના કાર્યકરો મુજબ, પુરુષ વોર્ડનના સંચાલનને કારણે કન્યાઓ પોતાની વ્યક્તિગત સમસ્યાઓ રજૂ કરવામાં સંકોચ અનુભવે છે. આ ગંભીર મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા કાર્યકરોને કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી ન મળતા તેમણે કચેરી પરિસરમાં જ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતે, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ATDO) ને આવેદનપત્ર આપી પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી. ABVPની મુખ્ય માંગણીઓ ગૃહમાતાની નિમણૂક: કન્યા છાત્રાલયમાં તાત્કાલિક ધોરણે કાયમી મહિલા ગૃહમાતાની નિમણૂક કરવામાં આવે જેથી વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને પ્રાઇવસી જળવાય. ભોજનની ગુણવત્તા: છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાની ફરિયાદ સાથે તેમાં સત્વરે સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. પ્રશ્નોનું નિરાકરણ: વિદ્યાર્થિનીઓને પડતી અન્ય વહીવટી મુશ્કેલીઓ અને પાયાની સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે. વિદ્યાર્થી સંગઠને ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:37 pm

પાટણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે બેઠક યોજાઈ:કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને આયોજનની ચર્ચા

પાટણ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી, 2026) ની જિલ્લા કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, પાટણના નવા કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. કલેક્ટર તુષાર ભટ્ટે બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમી તાલુકાના બી.એચ. દવે વિદ્યાસંકુલ પાછળના મેદાન ખાતે યોજાશે. કલેક્ટરે કાર્યક્રમને સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠકમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા અને આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીને ગૌરવભેર ઉજવવા અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, DRDA નિયામક આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:36 pm

વાણંદ સોસાયટીમાં સિંહણે મારણ કર્યું.:જૂનાગઢમાં સિંહણનો શિકાર પર ગાયે કર્યો વળતો હુમલો: વાણંદ સોસાયટીમાં મારણ કરી મિજબાની માણતી સિંહણનો વીડિયો વાયરલ, લોકોમાં ફફડાટ.

ગિરનાર જંગલની સરહદે આવેલા જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં વનરાજોનો વસવાટ હવે સામાન્ય બની રહ્યો છે. ખોરાકની શોધમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ અવારનવાર રહેણાંક અને રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢની વાણંદ સોસાયટીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહણ શિકારની મિજબાની માણી રહી છે, પરંતુ ગાયના વળતા પ્રતિકારને કારણે સિંહણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વાણંદ સોસાયટીમાં એક સિંહણે મારણ કર્યું છે અને તે આરામથી શિકાર આરોગી રહી છે. આ દરમિયાન અચાનક જ એક ગાય સિંહણ પર દોટ મૂકે છે. ગાયને સામે આવતી જોઈ સિંહણ ડરી જાય છે અને શિકાર છોડીને ત્યાંથી રવાના થઈ જાય છે. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ગિરનાર જંગલની સાવ નજીક આવેલી વાણંદ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે સિંહો ખોરાક માટે સોસાયટીઓમાં ઘૂસી આવતા હોવાથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સાબિત થાય છે કે જંગલના રાજા હવે માનવ વસ્તી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.થોડા દિવસો પહેલા જ ગિરનાર તરફ જતા ભવનાથ રોડ પર પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક કાર આવી પહોંચી હતી. કાર ચાલકે સમયસૂચકતા વાપરી સજ્જડ બ્રેક મારતા સિંહનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વીડિયો બાદ વન વિભાગ પણ સતર્ક બન્યું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે પણ સિંહ રહેણાંક વિસ્તારમાં હોવાની જાણ થાય છે ત્યારે તાત્કાલિક વનકર્મીઓની ટીમ સ્થળ પર પહોંચી જાય છે અને સિંહને સુરક્ષિત રીતે જંગલના વિસ્તારમાં પાછો ખસેડવાની કામગીરી કરે છે. વન વિભાગ દ્વારા લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રિના સમયે સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:35 pm

કોટંબી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ચોરાયેલા 9 મોબાઈલ ઝડપાયા:ઉત્તરપ્રદેશના અલીગઢના ત્રણ શખસોની ધરપકડ, ભીડનો લાભ લઈ મોબાઈલ સેરવી લેતા હતા

વડોદરા શહેરમાં ગઈકાલે કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચ દરમ્યાન ચોરાયેલ મોબાઈલની ચોરી કરનાર ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેલવે સ્ટેશન અને મેદાનમાંથી ચોરી કરનાર ઉત્તરપ્રદેશના ત્રણ ઈસમોને ઝડપી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. યુપીના અલીગઢની ત્રિપુટી પાસેથી ચોરીના 9 મોબાઈલ મળ્યાસયાજીગંજ પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢની ત્રણ સભ્યોની ગેંગને બાતમીના આધારે મોબાઈલ વેચે અને ફરાર થાય તે પહેલા જ ઝડપી પાડી હતી. આ ઈસમોએ વડોદરા રેલ્વે સ્ટેશન અને કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ગેંગ પાસેથી કુલ 9 મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત આશરે રૂ. 5,09,000 છે. મેચની ભીડનો લાભ લઈ મોબાઈલ ફોન સેરવી લીધા હતાસયાજીગંજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીદાર પાસેથી માહિતી મળી કે, સયાજીગંજ ધ કોર્નર શોપ મેડિકલ સામે જમવાની લારી પાસે ત્રણ વ્યક્તિઓ ચોરીના મોબાઈલ વેચવા માટે ઊભા છે. આ બાતમીના આધારે તાત્કાલિક તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો દેખાયા હતા. બાદમાં પોલીસે તેઓની અંગઝડતીમાં અલગ-અલગ કંપનીના કુલ 9 મોબાઈલ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે, તેમાંથી એક મોબાઈલ ફોન સયાજીગંજ રેલ્વે સ્ટેશનના ઇન-ગેટ સામે આવેલા શોપિંગ સેન્ટર પાસેની રજવાડી ચાની દુકાનમાંથી ચોરી કર્યો હતો. બાકીના મોબાઈલ ફોન્સ ગઈકાલે કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન પ્રેક્ષકોની ભીડનો લાભ લઈને ચોરી કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામઆ કાર્યવાહીમાં પોલીસે સુબુર ફાયક પઠાણ (રહે. હમદર્દનગર, સેક્ટર બી, ફાતીમા સ્કૂલ પાસે, તા. કોલ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ ), ખાલીદ નિયાઝ મેવાતી (રહે. મ.નં. 2/4, ઔરંગાબાદ ટાઉનશીપ, મેવાતી મહોલ્લા, તા.જિ. મથુરા, ઉત્તરપ્રદેશ ), રાશીદ શમસાદ નાઈ (હાલ રહે. મ.નં. ૨6, જમાલપુર ફાટક, બીજલઘર પાસે, તા. બંદાદેવી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ (મૂળ રહે. ગામ બડકલી ચોરા, બાંગલપુર, જિ. પટના, બિહાર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:27 pm

વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ પર પથ્થરમારો:બુટલેગરના બે ભાઈઓએ પથ્થરમારો કરતા ગાડીઓના કાચ તૂટ્યા, નરોડા પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠીયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મુક્યો હતો. આ અંગે નરોડા પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધીને પથ્થરમારો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પકડવા જતાં આરોપીઓ ભાગ્યાનરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અન્ય પોલીસકર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અનીલ ઉર્ફે કાલી સોલંકી મુઠીયા ગામના મેદાનમાં હાજર છે. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા મુઠીયા ગામે પહોચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલો શખસ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીઓમાં ભાગી ગયો હતો. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા તેની પાછળ દોડ્યા હતા. પથ્થરમારો કરતા બે આરોપીને ઝડપી પાડ્યાઆ દરમિયાન અનિલના ભાઈઓ જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદિપ ઉર્ફે પદીયો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલી કેટલાકી રહીશોની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી બાદ પોલીસે જીગ્નેશ અને પ્રદિપ સોલંકીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બે આરોપીઓએ પોલીસકર્મીઓને ધમકાવ્યાપકડાયેલા આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ધમકાવતા જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે અને તેમને પોલીસનો કોઈ ડર નથી. આરોપીઓએ બહારથી દારૂનો મોટો જથ્થો લાવીને બહારની એજન્સીની રેડ પડાવીને ઉચ્ચ અધિકારીઓ પાસે પીઆઇ અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાવવાની અને તેમનું કરિયર ખરાબ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે પોલીસે આરોપીઓની ગાડી અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી સહિત બે લોકો ફરારજોકે મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો એક અજાણ્યો શખસ ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે નરોડા પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરનાર જીગ્નેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી અને પ્રદિપ ઉર્ફે પદીયો બળદેવભાઇ સોલંકી અને અનિલ તથા એક અજાણ્યા શખસ સામે ગુનો નોધીને જીગ્નેશ અને પ્રદિપની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમહત્વનું છે કે, પકડાયેલા આરોપી જીગ્નેશ સામે અગાઉ પોલીસ પર હુમલો, મારામારી અને પ્રોહિબિશન સહિતના 40 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. તેમજ ચાર વખત પાસાની સજા ભોગવી ચૂકેલો છે. ત્યારે પ્રદિપ સામે અગાઉ પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:25 pm

ઉનાના ઝુડવડલીની સીમમાં સિંહ પરિવારના ડેરા:શિકારની શોધમાં 2 સિંહણ, 2 સિંહબાળ મળી 6 સિંહોનું મુક્ત વિચરણ, ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ

ગીરના જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલા ઉના તાલુકાના ઝુડવડલી ગામમાં સિંહોનો વસવાટ વધતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલા આ ગામની સીમમાં આજે દિવસે જ 2 સિંહણ, 2 પાઠડા અને 2 સિંહ બાળ સહિત કુલ 6 સિંહોનો પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. સિંહોના આ પ્રકારે મુક્ત વિચરણને કારણે વાડી માલિકો અને શ્રમિકોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. શ્રમિકોમાં ભય અને પાકને નુકસાનદિવસના સમયે સિંહોની હાજરી હોવાથી વાડીઓમાં કામ કરતા શ્રમિકો ખેતરે આવતા ડરી રહ્યા છે, જેના કારણે ખેતીકામ પર માઠી અસર પડી રહી છે. બીજી તરફ, સિંહ આવ્યા હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં 'સિંહપ્રેમીઓ' પોતાના કાર અને બાઈક લઈને ખેતરોમાં ઘૂસી જાય છે. આ બિનજરૂરી અવરજવરને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે, જે ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. વન વિભાગ પાસે પેટ્રોલિંગની માગઝુડવડલી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી સિંહો માટે કાયમી રહેઠાણ જેવો બની ગયો છે. જોકે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ સિંહોનો ચોક્કસ વિસ્તાર નિર્ધારિત ન હોવાથી ઘણીવાર ટ્રેકિંગમાં મુશ્કેલી પડે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નિયમિત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે. માનવ-સિંહ સંઘર્ષ ટાળવા જરૂરી પગલાંખેડૂતોના જણાવ્યા અનુસાર, જો વન વિભાગ આ વિસ્તારમાં ચોકસાઈ વધારે તો સિંહ અને માનવ બંનેની સુરક્ષા જળવાઈ રહેશે. સિંહ દર્શનના નામે ખેતરોમાં ઘૂસી આવતા તત્વો પર રોક લગાવવી પણ અનિવાર્ય બની છે જેથી કોઈ મોટી દુર્ઘટના કે સંઘર્ષની સ્થિતિને ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:14 pm

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ માટે 108 સેવા સજ્જ:140 કર્મચારીઓ 34 એમ્બ્યુલન્સ સાથે તૈનાત રહેશે

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન ઊભી થતી તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. 14 અને 15 જાન્યુઆરી, 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. આ સેવાઓમાં આશરે 140 જેટલા ડ્રાઈવર, ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે. આ વિશેષ આયોજનનો હેતુ ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે ઉતરાયણ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટનાઓ, પતંગની દોરીથી કપાઈ જવાના બનાવો તેમજ અન્ય ટ્રોમા કેસોમાં વૃદ્ધિ જોવા મળે છે. આ અંગે પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે, 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉતરાયણ ઉજવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક ઈમરજન્સી પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર તરત જ 108 પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ઉતરાયણનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:04 pm

રાજકોટના ચકચારી ફાયરિંગ કેસમાં વધુ એકની ધરપકડ:જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો ફાયરિંગ કરી મોરબી પહોંચ્યો બે દિવસ આશરો આપનાર ઇમરાન જેડા ઝડપાયો, અત્યાર સુધી 35 ઝડપાયા

29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કેસમાં ફાયરિંગ કરી મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો મોરબી પહોંચ્યો હતો જ્યાં તેને આશરો ઇમરાન ઈકબાલ જેડા નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા ઇમરાન ઈકબાલ જેડા (ઉ.વ.32)ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પકડાયેલ શખ્સે સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં બે દિવસ આશરો આપ્યો હોવાનું સામે આવતા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે પેંડા અને મુર્ગા ગેંગના કુલ 35 આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. સોનીબજારમાં ચાંદીના વેપારી સાથે મહારાષ્ટ્રના દેવીલાલની 13.50 લાખની ઠગાઇ અમીન માર્ગ પર રહેતા અને ખત્રીવાડમાં આરકે હાઉસ નામના બિલ્ડીંગમાં આરકે સિલ્વર નામે પેઢી ચલાવતાં રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર (ઉ.વ.58)એ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહારાષ્ટ્ર સાંગલીના આષ્ટાગામના દેવીલાલ વાધરામ માલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં તેઓની સાથે અન્ય ત્રણ ભાગીદાર છે. મહારાષ્ટ્ર સાંગલીના દેવીલાલ માલી કે જેને તેના ગામમાં અર્બુદા સીલ્વર જવેલર્સ નામે દુકાન છે તેની સાથે છેલ્લા 5 વર્ષથી ચાંદીના હોલસેલ દાગીના ઓર્ડર મુજબ આપવાનો વેપાર કરે છે. દાગીના મળ્યે સમયસર રૂપીયા આપી દિધા હતાં. દેવીલાલ માલીને તા.20.05.2024ના 18 કીલો 104 ગ્રામ ચાંદીના અલગ-અલગ દાગીના રૂ.8.06નો ઓર્ડર લખાવેલ તેના રૂ.4.22,400 પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા જેથી કુરીયર મારફત ઓર્ડર મુજબ ચાંદીના દાગીના મોકલાવેલ હતાં. બાદ નવા ઓર્ડર મુજબ 17 કીલો 847 ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના રૂ.9,65,908ના મોકલ્યા હતા. તેઓએ થોડા દિવસમાં આ બીલના તથા અગાઉના બીલના પૈસા આપી દઈશ તેમ વાત કરી હતી પરંતુ પૈસા આપ્યા ન હતા જેને લઇ કુલ રૂ.13,49,197 આજ સુધી પરત ન આપતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્ટ એટેકથી યુવકનું મોત નીપજ્યું બહાદુર ખત્રી (ઉં.વ.30) સવારે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે કાર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. ખેમ બહાદુર બે ભાઈમાં નાનો હતો તે એપાર્ટમેન્ટમાં ચોકીદારનું કામ કરતો ઉપરાંત કાર સાફ કરવાનું કામ પણ કરતો હતો નેપાળી યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યું છે. પતંગ લૂંટવા જતા 11 વર્ષનો બાળક છાપરા પરથી જમીન પર પટકાયો સલમાન યુનુસભાઈ શેખ (ઉં.વ.11) આજે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પહેલા માળ જેટલી ઊંચાઈના છાપરા પરથી પડી જતા પગે, શરીરે, મોઢે ઇજા પહોંચી હતી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનના પિતા મજૂરી કામ કરે છે. સલમાન કટ થયેલી પતંગને લૂંટવા માટે તેના ઘર નજીકની શેરીમાં આવેલા એક મકાનના છાપરા ઉપર ચડ્યો હતો અને ત્યાંથી જમીન પર પટકાયો હતો હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:03 pm

ગોધરા પતંગ બજારમાં અંતિમ તબક્કાની ઘરાકી:વેપારીઓમાં ખુશી; પતંગ, દોરી, ચશ્મા-ટોપીની ખરીદી માટે લોકોનો ધસારો

ગોધરા શહેરના પતંગ બજારમાં ઉતરાયણ પૂર્વે અંતિમ તબક્કાની ઘરાકી નીકળી છે, જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ અને દોરીની ખરીદી સાથે ચશ્મા તેમજ ટોપી જેવી આનુષંગિક વસ્તુઓની ખરીદી માટે પણ ધસારો કરી રહ્યા છે. આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતા ઉતરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે. શરૂઆતના દિવસોમાં પતંગ બજારમાં મંદીનો માહોલ હતો અને વેચાણમાં અપેક્ષિત ઉછાળો ન આવતાં વેપારીઓમાં નિરાશા હતી. જોકે, પર્વ નજીક આવતાની સાથે જ ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે, અને અંતિમ દિવસોમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે. ગોધરા શહેરના રામસાગર તળાવની આસપાસ આવેલી પતંગ અને દોરીની દુકાનો પર મોડીરાત સુધી ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકો, યુવાનો અને પરિવારો પતંગ, દોરી અને માંજાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રંગબેરંગી પતંગો અને મજબૂત દોરી માટે ગ્રાહકોમાં ખાસ ઉત્સાહ છે. પતંગ-દોરી ઉપરાંત પીપુડા અને વિવિધ ડિઝાઇનના સ્ટાઇલિશ ચશ્માની ખરીદી માટે પણ બજારમાં ધસારો જોવા મળ્યો છે. આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને દેશભક્તિના ભાવને ઉજાગર કરતી ઓપરેશન સિંદુર અને રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણવાળી પતંગો લોકોમાં લોકપ્રિય બની છે. દેશપ્રેમની લાગણી સાથે ઉતરાયણ ઉજવવા ઈચ્છતા લોકો આવી વિશેષ પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે શહેરના મુખ્ય બજારોમાં ભારે ચહલપહલ સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગોધરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આમ, ઉતરાયણ પર્વની નજીકતા સાથે ગોધરા શહેરના પતંગ બજારોમાં ઉત્સાહ, રોનક અને વ્યાપારિક ગતિશીલતા ફરી જીવંત બની છે. અંતિમ તબક્કાની ઘરાકીથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને શહેરભરમાં ઉતરાયણના ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:50 pm

ગોધરામાં વી ક્લબ દ્વારા મહિલા ક્રિકેટ મેચ યોજાઈ:ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ હર્ષા પંચાલ દ્વારા આયોજન કરાયું

ગોધરામાં ધ એસોસિએશન ઓફ વી ક્લબ્સ ઓફ ઇન્ડિયા, વી ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એફ-૧ ૨૦૨૫ દ્વારા મહિલા ક્રિકેટ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગોધરા ખાતે યોજાઈ હતી.ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ વી હર્ષા પંચાલ દ્વારા સૌપ્રથમવાર આ વી ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. ગોધરાની વિવિધ ક્લબોના મહિલા સભ્યોએ આ મેચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ક્રિકેટ મેચ દ્વારા 'સ્ત્રી સશક્તિકરણ'નું એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:44 pm

રાજકોટમાં વિકાસના દાવાની પોલ ખુલી:રાજદીપ સોસાયટીના રહીશોનો રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલન અને તંત્ર સામે ઉગ્ર રોષ, થાળીઓ વગાડીને આક્રોશ ઠાલવ્યો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમ નગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલા હંસાબેન મોવૈયા આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. જો અમે નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. રાજકોટના 80 ફૂટ રોડ ઉપર સિટીબસ હડફેટે 6 લોકો ઘાયલ રાજકોટ શહેરમાં સિટિબસ ચાલકો બેફામ હંકારતા હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં 80 ફૂટ રોડ પર સિટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્પીડમાં જતી બસે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. શેઠ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં સિટી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિકોમાં સિટી બસના ડ્રાઈવરોની મનસ્વી ગતિ અને બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવેની મંજૂરીના અભાવે રાજકોટનો સાંઢિયા પુલ પ્રોજેક્ટ વિલંબમાં મુકાતા લોકો પરેશાન રાજકોટના જામનગર રોડ પર રૂ. 75 કરોડના ખર્ચે બની રહેલા વર્ષો જૂના સાંઢિયા પુલનું નવનિર્માણ કાર્ય વહીવટી મંજૂરીઓના વાંકે અટવાયું છે. રેલવે ટ્રેક પર સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા માટે રેલવે તંત્ર પાસેથી જરૂરી મંજૂરી હજુ સુધી મળી નથી, જેના કારણે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું લક્ષ્યાંક પૂર્ણ થાય તેમ લાગતું નથી. આ વિલંબને કારણે માર્ચ-2026ની સમય મર્યાદામાં કામ પૂરું થવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તંત્રની આ ઢીલી નીતિનો ભોગ બજરંગવાડી, વોરા સોસાયટી, વાંકાનેર સોસાયટી અને રેલનગર જેવા વિસ્તારોમાં રહેતા લાખો લોકો બની રહ્યા છે. હાલ પુલનું કામ ચાલુ હોવાથી વાહનોનો તમામ ભાર ભોમેશ્વર અને પોપટપરા વિસ્તાર પર પડ્યો છે. ભોમેશ્વર ફાટક બંધ થતા જ કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેનાથી સ્થાનિકો પ્રદૂષણ અને ઘોંઘાટથી ત્રસ્ત છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાઘેલાએ તંત્ર પાસે વહીવટી પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવા માંગ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, ઉત્તરાયણે દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પતંગબાજીનો ભારે ઉત્સાહ જોવા મળે છે, પરંતુ તેની સાથે પતંગની ઘાતક દોરી જીવલેણ પણ સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના માઇનોર ઓપરેશન થિયેટરમાં નિષ્ણાત સ્ટાફ સતત ખડેપગે રહેશે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે આંગળીઓ કપાઈ જવી, ધાબા પરથી પડી જવું કે રસ્તા પર જતા બાઈક ચાલકોના ગળામાં દોરી ફસાઈ જવી જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દોરીથી ગંભીર રીતે કપાયેલા દર્દીઓ માટે અલગ વોર્ડ અને તાત્કાલિક સારવારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઘણીવાર દોરી શરીરમાં ઊંડી ઉતરી જવાને કારણે ઈમરજન્સી સર્જરીની જરૂર પડતી હોય છે, જેના માટે માઇનોર OT માં ખાસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષોના અનુભવોને આધારે પર્વ દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓને વિના ખર્ચે અને ત્વરિત સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં નોંધાયા 2052 દર્દી, 826 ક્લોરીન ટેસ્ટ રાજકોટમાં કડકડતી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ શહેરના સરકારી ચોપડે રોગચાળાના 2052 કેસ નોંધાયા છે. આરોગ્ય શાખા દ્વારા જારી કરાયેલા અઠવાડિક રિપોર્ટ મુજબ, તા. 5-1 થી 11-1 દરમિયાન મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ અદ્રશ્ય રહ્યા છે, જે એક રાહતના સમાચાર છે. જોકે, અન્ય બીમારીમાં શરદી-ઉધરસના 1083 કેસ, સામાન્ય તાવના 725 અને ઝાડા-ઉલ્ટીના 242 કેસ સામે આવ્યા છે. ઉપરાંત શહેરમાં કમળાના પણ 2 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડનો એક પણ કેસ જોવા મળ્યો નથી. રોગચાળો નિયંત્રિત કરવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 826 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્ડ વર્કરો દ્વારા 17342 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 603 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ દરમિયાન 197 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 168 રહેણાંક અને 29 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:43 pm

ઉધનામાં દૂષિત પાણીની અનેક રજૂઆત છતાં પાલિકા 'કુંભકર્ણની નિદ્રા':ઝેરી અને રંગીન પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ, કહ્યું- ગંભીર બીમારી થશે તો જવાબદારી કોણ લેશે?

'સ્વચ્છ શહેર' તરીકે દેશભરમાં નામના છે તે સુરત મહાનગરપાલિકાના વહીવટના ધાંધિયા ફરી એકવાર સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર ખાતે છેલ્લા કેટલાય સમયથી પીવાનાં પાણીમાં ગટરનું અને કેમિકલયુક્ત દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર 'કુંભકર્ણની નિદ્રા'માં હોય તેમ લાગી રહ્યું છે. પીવાલાયક પાણી કે ઝેર?સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો પુરવઠો છોડવામાં આવે છે, ત્યારે નળમાંથી શુદ્ધ પાણીને બદલે અત્યંત દુર્ગંધ મારતું અને રંગીન પાણી નીકળે છે. અમૃતનગરના રહીશોનું કહેવું છે કે, આ પાણી પીવું તો દૂર, ઘરકામ કે નાહવા માટે પણ વાપરી શકાય તેમ નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ચામડીના રોગો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. ગેરકાયદેસર ડાઈંગ મિલોનો રાફડોઆ સમસ્યા પાછળનું મુખ્ય કારણ સ્થાનિકોએ આજુબાજુમાં ધમધમતા ગેરકાયદેસર તપેલા ડાઈંગ એકમોને ગણાવ્યું છે. આરોપ છે કે આ એકમો કોઈપણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ડાયરેક્ટ ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત રંગીન પાણી છોડી રહ્યા છે. ડ્રેનેજ અને પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ અથવા લીકેજ હોવાથી આ કેમિકલયુક્ત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. તંત્રની મિલીભગતથી આ એકમો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ગાંધીનગર સુધી ગુંજ, છતાં તંત્ર નિષ્ક્રિયસુરત મહાનગરપાલિકાની આ ઢીલી કામગીરીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. હજુ થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સુરત પાલિકાને પાણી અને સફાઈના મુદ્દે કડક ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને વહીવટી તંત્ર જાણે સુધરવાનું નામ નથી લેતા. લોકોમાં ચર્ચા છે કે જો મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન ન થતું હોય, તો સામાન્ય નાગરિકની ફરિયાદની શું વિસાત? રહેવાસીઓની માગણીઅમૃત નગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને ગેરકાયદેસર ડાઈંગ મિલો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. લોકોની મુખ્ય માગણીઓ છે કે, તાત્કાલિક અસરથી દૂષિત પાણીની સમસ્યા દૂર કરી શુદ્ધ પાણી આપવામાં આવે. ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમોને સીલ કરવામાં આવે. બેદરકાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે જાગશે કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા જ રહેશે? લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે: સોનલબેનસ્થાનિક રહીશ સોનલબેને જણાવ્યું હતું કે, અમારે ઉધનાના અમૃતનગરમાં દોઢ-બે વર્ષથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. કોઈવાર લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે પાણીમાંથી. અધિકારીઓને ઘણીવાર અમે જાણ કરેલી છે SMCમાં, પણ કોઈ જ અમારી દરખાસ્ત સાંભળતું નથી અને કોઈ જ પગલાં લેવાતા નથી આ વિષયે. હવે આપણે બધાએ જાણ્યું છે કે ઈન્દોરમાં કેવા કેસો બન્યા છે આ પાણીના લીધે. આજે એ જ ઝેરી પાણી અમે પણ પી રહ્યા છીએ એવું જ, તો અમારી સાથે પણ આવા જ કેસો બનવા માંગે છે? બે વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં પરિસ્થિતિ એવી જ છે: ગૌતમભાઈસ્થાનિક રહીશ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીની અંદર અમે ઓછામાં ઓછી આજની તારીખમાં દોઢથી બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અને એમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી નવી લાઈનો, પાઈપલાઈન નાખીશું તો તમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અમને નોટિસ આપેલી જેથી અમે એ નોટિસ બેઝ પર તાત્કાલિક કોર્પોરેટર સોમનાથભાઈને વાત કરીને નવી લાઈનો નંખાવી દીધી. તો સોમનાથભાઈએ સહકાર આપીને નવી લાઈન નંખાવડાવીને એના પછી અમે પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે ગંદુ પાણી, ગટરિયું પાણી, કેમિકલયુક્ત પાણી આવે છે. 'સાંઠગાંઠના લીધે આ બધું ચાલી રહ્યું છે'સામે સિટી ઈન્ડસ્ટ્રીમાં આ જે ટેક્સટાઈલ અને બધી તપેલા ડાઈંગ, બાજુમાં દર્શન મીલ, રામકૃષ્ણ ઠાકોર નગર એ બધામાં તપેલા ડાઈંગો બધા ચાલે છે. અમે કમ્પ્લેઈન કરીએ છીએ તો એમને કહે કે થોડી વાર તમે અડધો કલાક એ પાણી જવા દો બોલે. આ કેવી વાત છે? અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે. તો આ તમારી કઈક સાંઠગાંઠ છે એના લીધે આ બધું ચાલી રહ્યું છે. ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?બીજી વાત અમે કહીએ કે ભાઈ આ પાણીનું તમે સોલ્યુશન લાવો તો અમને એમ કહે છે કે અમને હાઈડ્રોલિક વાળા અમને સપોર્ટ નથી કરતા. હાઈડ્રોલિકના જે સાહેબ છે, તે કહે કે અમને આ લોકો સપોર્ટ કરે તો અમે તમારી લાઈન નવી નાખી આપીએ, એક અલગથી પાઈપ રોડ પર, મેઈન રોડ પર જે નવસારી હાઈવે રોડ છે. તો ત્યાંથી અમારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે પણ હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટ પણ આ સાંભળવા તૈયાર નથી. અમારે ત્યાં છોકરાઓ જે પાણી પીએ છે તેનાથી ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:38 pm

ખારાઘોડામાં એક મહિનામાં 7 ગેસ સિલિન્ડર ચોરાયા:ગ્રામજનોમાં રોષ, ચોરીની વધતી ઘટનાઓ વધતા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે વધુ બે ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થતાં ગ્રામજનોએ પાટડી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. એક જ મહિનામાં ખારાઘોડા ગામમાં કુલ સાત ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે. જગદીશ સોસાયટી અને ખોડીયાર નગર સોસાયટીમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. રવિવારે રાત્રે થયેલી ચોરીમાં હરિભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ ગજ્જરના રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ગ્રામજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી કે, ગામમાં રાત્રિ પેટ્રોલિંગ બંધ થઈ ગયું છે, જે પહેલા નિયમિત થતું હતું. ચોરીની વધતી ઘટનાઓ અંગે ખારાઘોડાના પૂર્વ સરપંચ બી.ડી. બાથાણી, કનુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, કાળુભાઈ સુથાર અને ધવલભાઈ પટેલ સહિતના આગેવાનોએ પાટડી પીઆઈ બી.સી. છત્રાલીયા અને પોલીસ સ્ટાફને ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ચોર ગેંગને પકડવાની ખાતરી આપી હતી. જોકે, ગામમાં સતત વધતી જતી ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં હજુ પણ ફફડાટ અને રોષનો માહોલ યથાવત છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:35 pm

ચંદ્રુમાણા ગૌરી વિદ્યાલયમાં ₹1.51 લાખનો પ્રાર્થના શેડ બન્યો:અમદાવાદ સ્થિત દવે પરિવારે માતાની સ્મૃતિમાં સખાવત કરી

ચંદ્રુમાણા સ્થિત ગૌરી વિદ્યાલયમાં ગામના વતની અને અમદાવાદ નિવાસી દવે પરિવાર દ્વારા ₹1,51,000ના ખર્ચે નવો પ્રાર્થના શેડ બનાવવામાં આવ્યો છે. આ સખાવતથી શાળા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી છે અને વિદ્યાર્થીઓને પ્રાર્થના તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સુવિધા મળી છે. શાળામાં અગાઉ મુખ્ય દાતા કાજલબેન ચેતનભાઈ વ્યાસ સરપંચના સહયોગથી શાળાનું રીનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રાર્થના માટેનો ઓટલો તૂટી ગયો હતો, જેના સમારકામ અને પ્રાર્થના-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે શેડની જરૂર અંગે ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસે અમદાવાદ રહેતા દિલીપભાઈ દવે સમક્ષ રજૂઆત કરી હતી. દિલીપભાઈ દવે અને હેતુલ દવે દ્વારા, પરિવારના મહેન્દ્રભાઈ દવે અને નિરંજન દવે સહિતના સ્વજનોની ભલામણથી, માતા સ્વ. સવિતાબેન દવેની સ્મૃતિમાં ₹1,51,000ની સખાવત કરવામાં આવી હતી. આ ભંડોળમાંથી આધુનિક પ્રાર્થના શેડનું નિર્માણ થયું છે. શાળાના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ અને આચાર્ય સતિષ જાદવ સહિત સમગ્ર શાળા પરિવારે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારે જણાવ્યું કે આગામી સમયમાં આશરે ₹1.25 લાખના ખર્ચે પ્રાર્થના માટેના ઓટલાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ દવે પરિવાર ગામની રામ સેવા સમિતિ દ્વારા થતા કીટ વિતરણ કાર્યક્રમમાં પણ વર્ષોથી આર્થિક સહયોગ આપી રહ્યો છે, જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:30 pm

પાલનપુરમાં ઘાતક દોરીથી બચવા બાઇક પર સેફ્ટી તાર:પોલીસ અને મહારાણા સેવા ગ્રુપે 300થી વધુ બાઇક પર તાર લગાવ્યા

પાલનપુર શહેરમાં ઉત્તરાયણના તહેવારો દરમિયાન ઘાતક દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે બનાસકાંઠા પોલીસ અને મહારાણા સેવા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત મોટરસાયકલ ચાલકોની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું, જ્યાં લોકોની અવરજવર વધુ હોય છે. જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ, નેત્રમ શાખાના પીએસઆઇ, સીટી ટ્રાફિક પી.એસ.આઇ અને મહારાણા સેવા ગ્રુપના કાર્યકરોની હાજરીમાં 300થી વધુ મોટરસાયકલ પર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને સેવા ગ્રુપ દ્વારા લોકોને ઘાતક દોરીના જોખમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને દોરીનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. આ સાથે જ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.પાલનપુરમાં શરૂ થયેલી આ પહેલને નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:29 pm

યુવકની છરી મારી હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટર્કશન:વોટ્સએપમાં વાતચીત કરવા મામલે માથાકૂથ, આરોપીઓનો યુવતીના પરિવાર પર જીલવેણ હુમલામાં યુવકનું મોત

ભાવનગરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં યુવતીના પરિવારના 3 શખસોએ યુવક અને તેના પરિવાર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકનું મોત નિપજ્યું હતું, ત્યારે આ હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને આજ રોજ બનાવસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શું છે સમગ્ર મામલો10 જાન્યુઆરીના મોડી રાત્રિના ફરિયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરિયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં. છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરીજે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. વહેલી સવારે દિનેશનું સારવાર દરમિયાન મોત થયુંઆ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જોકે, 11 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરીઘટનાના પગલે સીટી Dysp, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલિસે આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી અને એક સગીર સહિત ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચાર આરોપીને ઝડપ્યારાહુલ ધીરુભાઈ સોલંકી (ઉં.વ. 26)અલ્પેશ ભીમભાઈ સોલંકી (ઉં.વ. 19)સુરેશ ભીમાભાઈ સોલંકી (ઉં.વ. 24)એક સગીર

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:28 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:રેત માફીયાઓ બેફામ બન્યાં, ઉત્તરાયણ પહેલાં જ મોદીએ કાઇટ ફેસ્ટિવલનો માહોલ જમાવી દીધો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:28 pm

જામનગરની રિલાયન્સમાં હાર્દિક પંડ્યાની ફટકાબાજી, વીડિયો વાઈરલ:ટાઉનશીપના ગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસમાં ચારેબાજુ ધુંઆધાર શોટ્સ ફટકાર્યા, ઈજામાંથી રિકવરી બાદ સંપૂર્ણ ફોર્મમાં

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપના ગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં પંડ્યા પોતાના જૂના અંદાજમાં આક્રમક બેટિંગ અને જોરદાર ફટકાબાજી કરતા જોવા મળી રહ્યા છે. પંડ્યા અવારનવાર જામનગર રિલાયન્સ ટાઉનશીપની મુલાકાત લેતા હોય છે. તાજેતરમાં તેમણે ટાઉનશીપના ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ દરમિયાન મેદાનની ચારેબાજુ ધુંઆધાર શોટ્સ ફટકાર્યા હતા. ઈજાના લાંબા ગાળા બાદ મેદાનમાં પરત ફરી રહેલા પંડ્યાનું આ શાનદાર ફોર્મ જોઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં હાર્દિક પંડ્યા સંપૂર્ણ લયમાં હોય તેમ જણાય છે. આગામી મેચો પૂર્વે તેમની આ પ્રેક્ટિસ ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના પ્રશંસકો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:26 pm

સુરતના કતારગામમાં યુવકની હત્યા:જૂની અદાવતમાં ત્રણ-ચાર શખસો વિપુલ કાનાણીની છરીના ઘા ઝિંકી ભાગ્યા

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ હત્યા કરીમળતી માહિતી મુજબ, કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે. કે. પી. નગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાનસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ કાનાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાઆ ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફરાર થયેલા 3થી 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિપુલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:00 pm

ભારત -જર્મનીની ફ્રેન્ડશિપની પતંગ:અમદાવાદના આકાશમાં પતંગ ને દોરી PMના હાથમાં, પરિવર્તન સભા વચ્ચે આપમાં ભડકો, મહિલા નાયબ મામલતદારે ફાંસો ખાધો

જર્મન ચાન્સેલર સાથે પીએમે ચગાવ્યો પતંગ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. અહીંથી નીકળી પીએમ મોદીએ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો..મોદી અને ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં ભારત - જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બંને દેશો વચ્ચે વિઝા મુક્ત મુસાફરી થઈ શકશે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને ફ્રેડરિક મર્ઝ વચ્ચે બેઠક થઈ. હવેથી બંને દેશો વચ્ચે વિઝા મુક્ત મુસાફરી થઈ શકશે. સાથે જ ઈન્ડિયા- જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે.. તો બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના સહ પ્રભારીએ આપ્યું રાજીનામું મોરબીમાં આપની પરિવર્તન સભામાં જોવા મળ્યો રાજકીય ડ્રામા.. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની પરિવર્તનની વાતો વચ્ચે પક્ષના સહપ્રભારીએ આપને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા નાયબ મામલતદારે ફાંસો ખાઈ આપઘાત કર્યો સુરતમાં મહિલા નાયબ મામલતદારે આત્મહત્યા કરી.ઓફિસ જવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા,પરંતુ પત્ની નીચે ઊતર્યાં ન હતાં. ઉપર જઈ ચેક કરતાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા. મૃતકના પતિ પણ નાયબ મામલતદાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSI-LRDના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરુ PSI-LRD એકઝામના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું..13,591 જગ્યાઓ માટે 21 જાન્યુઆરીએ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેર અર્થ અને હાઈડ્રો પ્રોજેક્ટ મામલે રાજકારણ તેજ છોટા ઉદેપુરમાં રેર અર્થ અને હાઈડ્રો પ્રોજેક્ટ મામલે ભાજપ, આપ અને કોંગ્રેસ આમનેસામને. આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે કોઈ પ્રોજેક્ટ નહીં આવે. તો ચૈતર વસાવાએ ગેજેટ બતાવીને કહ્યું - તો સરકારે MOU અને સર્વે કેમ કર્યા? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રિકેટ મેચ દરમિયાન ઢળી પડ્યા બેંક કર્મચારી સુરતના ડીંડોલીમાં બેંક કર્મચારી ક્રિકેટ મેચ દરમિયાન ઢળી પડ્યા.. 35 વર્ષીય મેહુલ પટેલ બેટિંગ કરી મેદાનમાં જ ડિવાઈડર પર આરામ કરવા બેઠા અને ત્યાં મૃત્યુ પામતા હાર્ટ એટેકની આશંકા છે. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર ઘેરા શોકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાત વર્ષના માસૂમ પર પાડોશી મહિલાનો અત્યાચાર સુરતમાં બાળકોએ મજાકમાં ઘરનો ડોરબેલ વગાડતા મહિલાએ સાત વર્ષના માસુમને ઢસડી ઢસડીને માર માર્યો.. વીડિયો સામે આવતા અને માતાપિતાએ ફરિયાદ કરતા મહિલાની અટકાયત કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટીમ ઈન્ડિયા વડોદરાથી રાજકોટ જવા રવાના કોટંબી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મેચ જીત્યા બાદ આજે ટીમ ઈન્ડિયા વડોદરાથી રવાના થઈ..બંને ટીમો હવે રાજકોટ જશે, જ્યાં 14મી જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મીની મહાકુંભમાં જોવા મળ્યા વિદેશી શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા મિની મહાકુંભમાં વિદેશી ભક્તો જોવા મળ્યા.. જર્મની, રશિયા અને ટર્કીના નાગરિકો ભૌતિક સુખ સુવિધાઓ ત્યજીને સંન્યાસના માર્ગે વળી ગયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:55 pm

ભિલોડા વન વિભાગે પક્ષી બચાવ અભિયાન રેલી યોજી:ઉત્તરાયણ પૂર્વે મામલતદારની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કરાઈ

ભિલોડામાં ઉત્તરાયણ પૂર્વે પક્ષી બચાવવા માટે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. ભિલોડા નોર્મલ રેન્જ વન વિભાગ દ્વારા આ 'કરુણા અભિયાન' અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભિલોડા રેન્જ ફોરેસ્ટ અધિકારી શૈલેન્દ્ર બીહોલા, ભિલોડા મામલતદાર અને જીવદયા પ્રેમી પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે પક્ષીઓને બચાવવાનો સંદેશ આપ્યો હતો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરી અને પતંગની અન્ય દોરીથી નિર્દોષ પક્ષીઓને ઈજા ન થાય કે તેમનો જીવ ન જાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સ્થાનિકોને ખાસ કરીને સવારે વહેલા અને મોડી સાંજે, જ્યારે પક્ષીઓ મુક્ત રીતે વિહાર કરતા હોય છે, ત્યારે પતંગ ન ચગાવવા અપીલ કરાઈ હતી. ઉત્તરાયણ પર્વ નજીક આવતા વન વિભાગ સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી પક્ષીઓના ભોગ ન લેવાય તે માટે આવા કરુણા અભિયાનો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:54 pm

છોટા ઉદેપુરમાં ટ્રાફિક પોલીસે બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવ્યા:ઉતરાયણ પર્વ નિમિત્તે દોરીથી સુરક્ષા માટે કામગીરી હાથ ધરી

છોટા ઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક ચાલકો માટે સરાહનીય કામગીરી હાથ ધરી છે. પતંગની દોરીથી થતી દુર્ઘટનાઓ અટકાવવા માટે બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા. જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં,ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ વચ્ચે પતંગની દોરીથી બાઇક ચાલકોના ગળા કપાવવાની ઘટનાઓ બનતી હોય છે, જેને રોકવા આ પહેલ કરવામાં આવી છે. આ કામગીરી છોટા ઉદેપુરના પેટ્રોલ પંપ ચોકડી પર ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે સ્થળ પર જ બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવીને સુરક્ષા પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:44 pm

વનડે મુકાબલા પૂર્વે ક્રિકેટરોનું આગમન:રાજકોટની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમનું ઢોલ-નગારા અને પરંપરાગત ગરબા સાથે સ્વાગત કરાયું, ક્રિકેટરોની ઝલક નિહાળવા લોકો ઉમટ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વનડે શ્રેણીના બીજા મુકાબલા માટે આજે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ-નગારા અને પરંપરાગત રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. જોકે આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આવતીકાલે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે. અને બુધવારે ઉત્તરાયણનાં પર્વે વનડે મુકાબલો જામશે. રાજકોટ સંપૂર્ણપણે ક્રિકેટમય બની ગયું છે. વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમ આજે ખાસ વિમાન મારફતે રાજકોટ આવી પહોંચી હતી. આ વખતે રાજકોટમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર આ મેચ રમાવાની છે. ઉતરાયણના પર્વ સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય થતા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેદાન પર ઉતરવાના હોવાથી ચાહકોની ખુશીનો પાર નથી. આજે બપોરે સ્પાઇસ જેટના ખાસ વિમાન દ્વારા બંને ટીમોનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. એરપોર્ટ પરથી ખેલાડીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બસ મારફતે તેમની નિયત હોટેલો પર લઈ જવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમને શહેરની એક ખાનગી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમ માટે કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને હોટેલ સુધીના માર્ગો પર ક્રિકેટ ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા પણ ખેલાડીઓની સુરક્ષા માટે હોટેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ જ્યારે હોટલ સયાજી ખાતે પહોંચી ત્યારે તેમનું અત્યંત ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સયાજી હોટેલના પ્રવેશદ્વાર પર જ ઢોલ-નગારાના નાદ સાથે ખેલાડીઓને વધાવવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાસ-ગરબાના આયોજન સાથે ખેલાડીઓનું અભિવાદન કરાયું હતું. હોટેલ સ્ટાફ દ્વારા ખેલાડીઓને કુમકુમ તિલક લગાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને જોઈને હોટેલ પરિસરમાં હાજર ચાહકોએ 'ઇન્ડિયા-ઇન્ડિયા' ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. ખેલાડીઓએ પણ સ્મિત સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. મેચની પૂર્વ તૈયારીઓ વિશે વાત કરીએ તો, આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીના રોજ બંને ટીમો ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમે નેટ પ્રેક્ટિસ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ સવારના સત્રમાં મેદાન પર પરસેવો પાડશે, જ્યારે ભારતીય ટીમ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ફ્લડ લાઈટ્સ હેઠળ પ્રેક્ટિસ કરી મેદાનની સ્થિતિનો અંદાજ મેળવશે. વડોદરામાં મળેલી જીત બાદ ભારતીય ટીમ રાજકોટમાં પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખી શ્રેણી કબજે કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણીમાં વાપસી કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તા. 14 જાન્યુઆરીએ રમાનારી આ મેચ માટે ટિકિટોનું વેચાણ પણ પૂરજોશમાં થયું છે. મકરસંક્રાંતિના દિવસે એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે, તો બીજી તરફ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે. ક્રિકેટ રસિકો માટે આ એક યાદગાર સંયોગ બની રહેશે. હાલ આ વનડે મુકાબલાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌની નજર બુધવારના મહામુકાબલા પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:41 pm

ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી

Gold, Silver Touch Record Highs : આજે સોના અને ચાંદીના ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો છે. 12 જાન્યુઆરીએ સોનું અને ચાંદી બંનેના ભાવ ફરી ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 3,327 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમતમાં આજે 13,968નો વધારો નોંધાયો.

ગુજરાત સમાચાર 12 Jan 2026 5:40 pm

રેકી કરી બાઈક ચોરી કરતા બે શખ્સની ધરપકડ:એક બાઇકને સ્ક્રેપમાં તોડી બીજી વેચી, અન્ય ચાર રિકવર કરાઈ; વાહનચોરીના 6 ગુનાઓનું ડિટેક્ટ

વડોદરા શહેરમાં અવાર નવાર વાહન ચોરીના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોરવા ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરેલી બાઇકની ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ચોરીના વાહનો ખરીદનારા બીજા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે, આ કાર્યવાહીમાં કુલ 6 વાહન ચોરીના ગુનાઓનું ડિટેક્શન કરવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ચોરાયેલા બાઈક સાથે બે શખ્સ ઝડપાયાક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના હરણી વારસિયા રિંગ રોડ પરથી રીઢા ચોર દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર (ઉંમર 40 વર્ષ, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા; મૂળ રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી, હરણી વારસિયા રિંગ રોડ, વડોદરા)ને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. વડોદરા બહાર જતા નાગરિકોની બાઇકને ટાર્ગેટ કરતોપૂછપરછમાં દુર્ગેશે કબૂલ્યું કે તે મુખ્યત્વે નોકરીયાત વર્ગના લોકો કે વડોદરા બહાર જતા નાગરિકોની બાઇકને ટાર્ગેટ કરતો હતો, જેમને તેઓ ગોરવા ગેંડા સર્કલ પાસે અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરીને જતા હતા. તેણે ચોરી કરેલી4 બાઇકમાંથી કેટલીકને હાથીખાના વિસ્તારમાં રહેતા નોમાન સબ્બીરભાઇ વ્હોરા (ઉંમર 32 વર્ષ, રહે. ઝમઝમ પાર્ક, હાથીખાના, પટેલ ફળિયા, વડોદરા)ને વેચી દીધી હતી. ટીમે નોમાનને પણ ઝડપી લીધો અને તેની પાસેથી ચોરીની અન્ય ત્રણ બાઇકો મળી આવી હતી. 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટનોમાને કબૂલ્યું કે તેણે આર્થિક લાભ માટે ચોરીના વાહનો ખરીદ્યા હતા, જેમાંથી એકને સ્ક્રેપમાં તોડી નાખ્યું અને બીજીને અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર્યવાહીમાં ગોરવા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના કુલ 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:36 pm

સુરતમાં 57 વર્ષના આધેડનું 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ:દાદા પૌત્રને ઘરે મુકવા ગયા ને આધેડે પોતાની જ દુકાનમાં બાળકીને શિકાર બનાવી, આરોપીની ધરપકડ

સુરતમાં દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 57 વર્ષના આધેડે માત્ર છ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પૌત્ર-પૌત્રીને રમાડવા દાદા ઘરની નીચે લઈ ગયાસુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અસરામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો હતો જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા. દાદા પૌત્રીને આરોપીની દુકાનમાં બેસાડી ઘરે ગયાઆ સમયે જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (રહે. સરથાણા) (મૂળ રહે. હડમતીયા ગામ, પાલીતાણા, જિ. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા હતા અને તેની છ વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ છ વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી. આધેડે પોતાની દુકાનમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યોદાદા તેમના પુત્રને ઘરે મુકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર છ વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ત્યાર બાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી. હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપી આધેડની ધરપકડ કરીબનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘણ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચો 8 જાન્યુઆરી: વડોદરામાં બે યુવકોનો 3 કલાક રૂમમાં ગોંધી રાખી 15 વર્ષીય દીકરી પર ગેંગરેપ 8 જાન્યુઆરીને ગુરૂવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:30 pm

મકરબા પાસે રેત માફીયાઓની દાદાગીરી, રસ્તા પર રેતી ઠાલવી ફરાર:ખાણખનીજ વિભાગના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી, સુરેશ ભરવાડ સહિત ત્રણ સામે ફરિયાદ

અમદાવાદમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. રેતી સહિતની ખનિજોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ડમ્પર માલિક સુરેશ ભરવાડની દાદાગીરી સામે આવી છે. ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે બે ડમ્પર રોક્યા હતા. ગેરકાયદેસર રેતી ભરીને જતા હોવાથી સરખેજ પોલીસ સ્ટેશન ડમ્પર લઈ જવા પોલીસે કહ્યું હતું. જે બાદ મકરબા રોડ પર ખાણ ખનીજ વિભાગની ચેકિંગ દરમિયાન ડમ્પર માલિકે ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરજમાં રૂકાવટ કરવા બદલ સુરેશ ભરવાડ સહિત 3 લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 30-30 મેટ્રિક ટન રેતી ભરેલી ડમ્પર રોકવામાં આવ્યા હતાગત 10 તારીખે રાત્રિના 10 વાગ્યે ખનીજ વિભાગના અધિકારીઓ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં ઊભા હતા. રાત્રિના સમયે ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી ખનીજ ચોરી રોકવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 11 વાગ્યા આસપાસ મકરબા રોડ પરથી બે પીળા કલરના ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેથી ખનીજ વિભાગના કર્મચારીઓએ બંને ડમ્પર ઊભા રાખ્યા હતા. જે બાદ ડમ્પરમાં ચેક કરતા સાદી રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. ડમ્પર પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે ભાગવાનો પ્રયાસ કર્યોજેમાંથી એક ડમ્પરમાં નંબર પ્લેટ હતી અને એક ડમ્પર નંબર પ્લેટ હોવાનું પણ સામે આવ્યું હતું. બંને ડમ્પરમાં અંદાજે 30- 30 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી હતી. જેથી પોલીસે ડમ્પર ચાલકો પાસે સાદી રેતી માટેની રોયલ્ટી પાસ પરમિટ માંગી હતી. પરંતુ ડમ્પર પર ચાલકો પાસે આવા કોઈપણ પ્રકારના પરમિટ ન હોવાનો સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ પૂછપરછ કરી હતી જેમાં એક ડમ્પર ચાલકે પોતાનું નામ જણાવ્યું નહીં અને એક ડમ્પર ચાલકે પોતાનું નામ સુરેશ ભરવાડ જણાવ્યું હતું. જે બાદ પોલીસે બંને ડમ્પર ચાલકને ગાડી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા જ ડમ્પર ચાલકોએ પોલીસ સ્ટેશન જવાના બદલે ડમ્પર ભગાવી દીધું હતું. રસ્તા પર રેતી ઠાલવી ખનીજ વિભાગના અધિકારીને ધમકી આપીજો કે થોડા આગળ જતા જ એક શખ્સે લાકડી વડે બંને ડમ્પરને અટકાવી દીધા હતા. જે બાદ ખનીજ વિભાગના અધિકારીઓ પણ તરત જ પહોંચી જતા તેમને જોઈને ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ખાલી કરી દીધી હતી. જે બાદ ખનીજ માફીયાઓ એટલે બેફામ થઈ ગયા કે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ફરજમાં રૂકાવટ કરવા બદલ સુરેશ ભરવાડ અને અન્ય ત્રણ લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:30 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં PhD સંશોધકોની છ-માસિક સમીક્ષા બેઠક યોજાઈ:વેદ-વેદાંગ, પુરાણ વિષયના સંશોધકોને નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, પ્રભાસતીર્થ ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના માર્ગદર્શક નિયમો અનુસાર Ph.D. સંશોધકો માટે છ-માસિક પ્રગતિ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક તા. 12 જાન્યુઆરી, 2025ના રોજ યુનિવર્સિટી પરિસરમાં યોજાઈ હતી, જેમાં વેદ-વેદાંગ અને પુરાણ વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંશોધકોએ છેલ્લા છ મહિનામાં કરેલા સંશોધન કાર્યની વિસ્તૃત રજૂઆત કરી હતી. સંશોધન પદ્ધતિ, ગ્રંથસંદર્ભો, અભ્યાસક્ષેત્રની પ્રગતિ અને આગામી કાર્યયોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ સંશોધન કાર્યને વધુ વૈજ્ઞાનિક, શાસ્ત્રીય અને પ્રમાણભૂત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાહ્ય વિષય નિષ્ણાંત તરીકે સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી, પૂણેના નિવૃત્ત પ્રોફેસર ડૉ.રવિન્દ્ર મૂળેજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંશોધકોને સંશોધનની ગુણવત્તા, શાસ્ત્રીય અભિગમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ધોરણો અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પ્રભારી શોધનિર્દેશક અને માર્ગદર્શક તરીકે ડૉ.પંકજકુમાર રાવલ હાજર રહ્યા હતા. વેદ-વેદાંગ વિષયના માર્ગદર્શક તરીકે ડૉ. રમેશચંદ્ર શુક્લ અને ડૉકુલદીપ પુરોહિતે, જ્યારે પુરાણ વિષયના માર્ગદર્શક તરીકે ડૉ.આશાબેન માઢક અને ડૉ.કિરણ ડામોરે સંશોધકોને વિષયસંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના OSD શ્રી રવીન્દ્ર કાલે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના સભ્યસચિવ અને સંયોજક તરીકે સંશોધન અધિકારી ડૉ.કાર્તિકકુમાર પંડ્યાએ કામગીરી સંભાળી હતી, જ્યારે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ સંકલનકર્તા તરીકે સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન JRF શોધછાત્ર ઋત્વિક જાની દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે સંશોધકોને તેમના સંશોધન કાર્યને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકથી સંશોધકોમાં નવી દિશા, આત્મવિશ્વાસ અને સંશોધન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી, જે યુનિવર્સિટીની સંશોધન ગુણવત્તા અને શૈક્ષણિક સ્તરને મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:22 pm

દેશનું પહેલું સ્ટુડન્ટ મેઈડ સેટેલાઈટ 'સંસ્કારસેટ-1' સ્પેસમાં જતુ-જતુ અટક્યું:PSLV-C62 મિશન ત્રીજા સ્ટેજે ફેઈલ થતાં વિદ્યાર્થીઓ નિરાશ, ઈસરોએ ટ્વીટ કરીને જાણ કરી

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બનવા જઈ રહેલો દેશનો પ્રથમ સ્ટુડન્ટ-મેઇડ સેટેલાઇટ 'સંસ્કારસેટ-1' આજે રાષ્ટ્રીય યુવા દિવસે અવકાશમાં પહોંચવાની ઘટના બની હતી, જેમાં ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓએ ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ISRO, In-SPACe અને CubeSatના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ લઘુ ક્યુબસેટ (CubeSat) PSLV-C62 મિશન દ્વારા સવારે 10:17 કલાકે શ્રીહરિકોટાથી પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે શૈક્ષણિક પ્રયોગો, અવકાશ સંશોધન અને NEP 2020ના લર્નિંગ આયામને સાર્થક કરવાનું પ્રતીક બન્યું હતું. જોકે, રોકેટના ત્રીજા સ્ટેજ પછી ચોથા સ્ટેજમાં તકનીકી ખામીને કારણે મિશન નિષ્ફળ રહ્યું અને સેટેલાઇટ સ્પેસમાં પહોંચી શક્યું નહીં, જેના કારણે વિદ્યાર્થીઓ અને સંસ્કારધામ પરિવારમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું છે તેમછતાં ISROએ આ પ્રયાસને પ્રોત્સાહન આપતા ટ્વીટ કરીને આગામી મિશનો માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. મોટા ઉપગ્રહો સાથે ક્યુબસેટ પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરી શકાય ક્યુબસેટ અવકાશ સંશોધન અને તકનીકી નિદર્શન માટે ખાસ ‘ક્યુબ’ આકારમાં બનાવવામાં આવ્યો હતો. સંસ્કારસેટ-1 એક નાનો ક્યુબસેટ છે જે મુખ્યત્વે શીખવા અને પ્રયોગ માટે તૈયાર કરાયો હતો. ક્યુબસેટ એ એક પ્રકારનો લઘુચિત્ર ઉપગ્રહ છે જે અવકાશ સંશોધન અને ટેકનોલોજી પ્રદર્શન માટે ક્યુબ આકારના ફોર્મેટમાં બનાવવામાં આવેલો છે. તેને મોટા ઉપગ્રહો સાથે પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરી શકાય છે. વિદ્યાર્થીઓ શીખશે કે ઉપગ્રહો પૃથ્વી સાથે કેવી રીતે વાતચીત કરે છે અને ડેટા કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેનું વિશ્લેષણ કેવી રીતે થાય છે. જેથી ઉપગ્રહ પૃથ્વી સાથે સંવાદ કંઇ રીતે થાય છે, તે સમજવા માટે આ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ડિઝાઇન, ફેબ્રિકેટ ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની પ્રક્રિયામાં ભાગ લીધો હતોસંસ્કારધામના સિનિયર કોર્ડીનેટર સલોની વ્યાસે જણાવ્યું હતું કે, આજે અમારાં સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી. સંસ્કારધામ ભારતનું પહેલુ સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ થવા જઈ રહ્યું હતું. જે અમારા સૌ માટે અદ્ભુત સિદ્ધિ છે. આ સંસ્કારસેટ-1 છે, તે સંસ્થાની લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેના પાછળ ISRO, ઇન સ્પેસ અને ક્યુબિસેટના વૈજ્ઞાનિકોનું પણ માર્ગદર્શન મળ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન, ફેબ્રિકેટ ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની તમામ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્કારસેટ-1 એ NEP 2020 અંતર્ગત લર્નિંગ અને એજ્યુકેશનના આયામને સાર્થક કરે છે. ભારતનું પ્રથમ સ્ટુડન્ટ બેઝ સેટેલાઈટ લોન્ચ થયું હતુંભારતમાં સૌ પ્રથમ વિધાર્થીઓ દ્વારા બનાવેલ સંસ્કારસેટ-1' સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા PSLV C-62 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV-C62 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ તે રસ્તો ભટકી ગયું છે. ત્રીજા સ્ટેજ પછી ચોથો સ્ટેજ પસાર કરી શક્યું નથી. ઈસરોએ ટ્વીટ કરીએ આ અંગે જાણાકારી આપી છે, અને દુઃખ વ્યક્ત કર્યું છે. આ મિશનમાં 16 સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ PSLV-C62 મિશન નિષ્ફળ જતા તે ગુમાવવા પડ્યા છે. મિશનમાં તકનિકી ખામી સામે આવતા તેનું વિગતવાર વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:20 pm

ફેવિક્રીલ દ્વારા ‘ધ આર્ટ ચેપ્ટર’ એક્ઝિબિશનનું આયોજન:અમદાવાદની ગુફા ખાતે 50થી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા

આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રીલ (Fevicryl) દ્વારા 'ધ આર્ટ ચેપ્ટર – સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. ફેવિક્રીલના કેટેગરી હેડ, માનન ચંદરાનાએ જણાવ્યું હતું કે, ‘ધ આર્ટ ચેપ્ટર’ એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રીલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો, તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે.આ પ્રસંગે ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) ના સ્થાપક અને પ્રમુખ ડૉ. ભંવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક પ્રેરણા માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 50થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ફેવિક્રીલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ અને પસંદગીના ઉભરતા કલાકારોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં વિવિધ શૈલીઓ અને માધ્યમોની કલાની ઝલક જોવા મળી હતી. છ દિવસમાં 5,000થી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી, જે સ્થાનિક કલા પ્રત્યેની વધતી જતી લોકપ્રિયતા અને કદર દર્શાવે છે. ‘ધ આર્ટ ચેપ્ટર’ દ્વારા કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ મળ્યું, જેનાથી કલાપ્રેમીઓ, સંગ્રહકર્તાઓ અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત થયો. આ દરમિયાન ઘણા કલાકારોની કૃતિઓનું વેચાણ થયું હતું, જ્યારે અન્યને કમિશન-આધારિત કામ માટે પૂછપરછ મળી હતી, જેનાથી ભવિષ્યના વ્યવસાયિક વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. પ્રદર્શનની સાથે સાથે ખાસ ક્યુરેટેડ ‘ભારતીય કલા વર્કશોપ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સહભાગીઓને પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોનો ગહન અનુભવ મળ્યો હતો, જેનાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ સમૃદ્ધ બન્યું હતું. કાર્યક્રમમાં સહભાગી કલાકારોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને સ્થાનિક પ્રતિભાઓને ઓળખ તથા વ્યાવસાયિક તકો પૂરી પાડવા બદલ ફેવિક્રીલની કટિબદ્ધતાને બિરદાવી હતી. આ પ્રદર્શન સ્થાનિક કલા સમુદાય માટે એક ઉત્સવ સમાન બની રહ્યું, જેણે ભારતના આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની ફેવિક્રીલની નેમને વધુ વેગ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:16 pm

યુવકની હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન:ભાવનગરના અકવાડાનો અલ્પેશ મૃતકના સંબંધીની યુવતીને કોલ અને વોટ્સએપ ચેટિંગ કરતો, ઠપકો આપવા જતા છરીથી ઢીમ ઢાળી દીધું હતું

ભાવનગરના અક્વાડા ગામે યુવાન દિનેશ ચૌહાણની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ ઘટનામાં ઘોઘારોડ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્વાડા ગામના નિતેશ ચુડાસમાની ફઈબાની દીકરીને અલ્પેશ સોલંકી નામનો યુવાન મોબાઈલ પર મેસેજ કરીને હેરાન કરતો હતો.આ બાબતે નિતેશ ચુડાસમા તેના મિત્ર દિનેશ ચૌહાણને સાથે રાખીને અલ્પેશ સોલંકીને સમજાવવા ગયો હતો. તે સમયે અલ્પેશ સોલંકી, રાહુલ સોલંકી અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોએ દિનેશ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં ઘોઘારોડ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ત્રણને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:15 pm

અમરેલીમાં કરૂણા અભિયાન-2026 શરૂ, 20 કેન્દ્રો જાહેર:પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓ માટે સારવાર ઉપલબ્ધ

અમરેલી જિલ્લામાં પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે 'કરૂણા અભિયાન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે, જે અંતર્ગત અબોલ પક્ષીઓના રક્ષણ અને તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવશે. ઘાયલ પક્ષીઓને મદદ કરવા માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર 1962, વન વિભાગ હેલ્પલાઈન નંબર 1926 અને વોટ્સએપ હેલ્પલાઈન નંબર 83200 02000 જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો આ નંબરો પર સંપર્ક કરી શકે છે. આ અભિયાન હેઠળ કુલ 20 કલેક્શન અને સારવાર કેન્દ્રોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ કેન્દ્રો પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને એકત્રિત કરીને તેમને જરૂરી સારવાર પૂરી પાડશે. ફોરેસ્ટ કલેક્શન સેન્ટર્સમાં વન ચેતના કેન્દ્ર (અમરેલી), મુંજીયાસર ડેમ નર્સરી (બાબરા), બાબરા ફોરેસ્ટ કોલોની (કરિયાણા રોડ-બાબરા), બાબરા રામપરા નર્સરી, દામનગર નર્સરી, રેસીડેન્ટ ફોરેસ્ટ ઓફિસરની કચેરી (લાઠી) અને તુલસીશ્યામ રેંજ (ખાંભા)નો સમાવેશ થાય છે. સારવાર કેન્દ્રોમાં ગીર પૂર્વ વન વિભાગ (વેકરીયાપરા ધારી), વન્યજીવ રેંજ (લીલીયા) અને એનિમલ કેર સેન્ટર (બાબરકોટ) મુખ્ય છે. આ ઉપરાંત, બાબરા, કુંકાવાવ, રાજુલા, લાઠી, દામનગર અને અમરેલીના પશુ ચિકિત્સાલયોમાં પણ સારવાર ઉપલબ્ધ રહેશે. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા ખાતે એક NGO દ્વારા કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે આ અભિયાનમાં સહયોગ આપશે. અમરેલી જિલ્લાના યુવાઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પતંગ ઉડાડવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક કે ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરે અને આવા દોરાની ખરીદી પણ ટાળે. પક્ષીઓના વિહરવાના સમયે, એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધી અને સાંજે પક્ષીઓ માળામાં પરત ફરવાના સમયે, એટલે કે સાંજે 5 થી 8 વાગ્યા સુધી પતંગો ન ઉડાડવા અથવા અત્યંત સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:13 pm

મનરેગા યોજનાના ફેરફારો સામે કોંગ્રેસનું 45 દિવસનું આંદોલન:ગ્રામ પંચાયત સ્તરથી લઈને સંસદ સુધી આંદોલન ચલાવાશે, ધરણાં પ્રદર્શન, આવેદનપત્ર, ઉપવાસ સહિતના કાર્યક્રમો

કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MNREGA) યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ફેરફારો અને નવી 'વીરજી રામજી' યોજનાના અમલીકરણ સામે દેશવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ સરકારના આ નિર્ણયને ગરીબ વિરોધી ગણાવ્યો હતો. AICC સભ્ય ગૌરવ પંડ્યાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબોને રોજગારીનો બંધારણીય અધિકાર પૂરો પાડે છે. આ યોજનામાં ફેરફાર કરીને નવી યોજના લાવવી એ ગરીબોના હિતો સાથે ચેડાં કરવા સમાન છે. અગાઉ આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 90% અને રાજ્યનો 10% હતો, જે હવે બદલીને 60:40 કરવામાં આવ્યો છે. આક્ષેપ કર્યો હતો કે, બંધારણની કલમ 258 હેઠળ રાજ્યોની સંમતિ લેવી જરૂરી હતી, જે લેવામાં આવી નથી. નવી યોજના હેઠળ કામોની પસંદગી માત્ર 'વિકસિત ભારત 2047' ના માપદંડો મુજબ જ થઈ શકશે. આનાથી ગ્રામ પંચાયતો અને ગ્રામસભાની સ્વાયત્તતા છીનવાઈ જશે, કારણ કે ગામની જરૂરિયાત મુજબના કામો જેમ કે ગટર, રસ્તા કે પાણી હવે સ્થાનિક સ્તરે નક્કી થઈ શકશે નહીં. નીતિ આયોગના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, 100 દિવસની રોજગારીના વચન સામે વાસ્તવિકતામાં માત્ર 60 દિવસની જ રોજગારી મળી રહી છે. કોંગ્રેસે આગામી 45 દિવસ માટે દેશવ્યાપી કાર્યક્રમો જાહેર કર્યા છે. આ આંદોલન ગ્રામ પંચાયત સ્તરથી લઈને સંસદ સુધી ચલાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં બ્લોક અને પંચાયત સ્તરે ધરણાં પ્રદર્શન, સરકારને આવેદનપત્ર પાઠવવા, ઉપવાસ અને સત્યાગ્રહ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ મનરેગા યોજનાને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરશે અને આ કાયદાકીય પડકારને પણ અંત સુધી લડવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:02 pm

અમદાવાદમાં એક જ દિવસમાં આગના 9 કોલ મળ્યા:અઠવાડિયામાં ફાયરવિભાગને 51 ઇમરજન્સી કોલ, શિયાળામાં આગના બનાવમાં વધારો

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં આગના બનાવો વધતા હોય છે. ગરમી વધારે હોવાના કારણે શોર્ટ સર્કિટ તેમજ અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જોકે, અમદાવાદમાં હવે શિયાળાની સીઝનમાં પણ આગના બનાવોમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં અમદાવાદ ફાયર બ્રિગેડ ઇમરજન્સી સર્વિસને આગના 51 જેટલા કોલ મળ્યા છે. સામાન્ય રીતે આગ-રેસ્ક્યુના દરરોજ ત્રણથી પાંચ કોલ આવતા હોય છે, પરંતુ એક દિવસમાં 5થી 7 જેટલા કોલ મળી રહ્યા છે. શિયાળામાં આગના બનાવો વધવાના કિસ્સામાં વીજ જોડાણમાં શોર્ટ સર્કિટના કારણો હોઈ શકે છે, જેથી વીજ પર થતા લોડના કારણે પણ આગ લાગી શકે છે. સાત દિવસમાં માત્ર આગના 51 ફાયર કોલ મળ્યાઅમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળામાં આગના કોલમાં વધારો થતો હોય છે પણ અમદાવાદમાં શિયાળાની સીઝનમાં થોડા દિવસથી આગના કોલમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં માત્ર આગના 51 ફાયર કોલ મળ્યા છે. રેસ્ક્યુ કોલ 98 મળ્યા હતા. 8 જાન્યુઆરી, 13 જાન્યુઆરી અને 11 જાન્યુઆરી રવિવારે એક જ દિવસમાં આગના 9 કોલ મળ્યા હતા. આ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ વીજ કરંટ અને શોર્ટ સર્કિટ એક કારણ હોઈ શકે તેવું અનુમાન થઈ રહ્યું છે. વર્ષ 2024-25માં ફાયર વિભાગને 6,441 ઇમરજન્સી કોલ મળ્યાઅમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા વર્ષ 2024–25 દરમિયાન માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ આગ અને અકસ્માત જેવી ગંભીર દુર્ઘટનાઓમાં ફસાયેલા નાગરિકોને બચાવી તેમને જીવનદાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કુલ 6,441 ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં 2,835 આગના કેસ તેમજ 3,606 રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. આ વ્યાપક કામગીરી દરમિયાન ફાયર વિભાગે 678 લોકોના જીવ બચાવી અનેક પરિવારોને ફરીથી જીવનની ખુશી આપી છે. આગ, અકસ્માત, ઊંચાઈ પરથી પડવાના બનાવો કે પાણીમાં ફસાયેલા નાગરિક હોય, દરેક પરિસ્થિતિમાં ફાયર જવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકી બીજાને નવુ જીવન આપ્યું છે. સાબરમતી નદીમાં આપઘાત કરતા 271 લોકોના જીવ બચાવવાવર્ષ 2021થી આજ સુધી સાબરમતી નદીમાંથી 271 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. લોકો સાબરમતી નદીમાં પડતું મૂકે છે અને તરત જ સ્થાનિક લોકો જીવ બચાવવા માટે થઈ ફાયર બ્રિગેડને કોલ કરે છે, ત્યારે ફાયર રેસ્ક્યુની ટીમ તાત્કાલિક પહોંચી જઈ બહાર કાઢી લે છે અને હોસ્પિટલ મોકલી આપતા તેનો જીવ બચી જાય છે. ખાસ કરીને આત્મહત્યા કરવા માટે લોકો નદીમાં પડતા મૂકતા હોય છે, ત્યારે ફાયરની ટીમ સતત ત્યાં હાજર હોવાથી જીવ બચી જાય છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ આજે માત્ર એક વિભાગ નહીં, પરંતુ નાગરિકો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત કવચ બની ગયું છે, જ્યાં કોઈ પણ જીવ જોખમમાં હોય, ત્યાં ફાયર બ્રિગેડ હંમેશા હાજર હોય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:55 pm

12થી 15 જાન્યુઆરી નાગરિકો માટે ખુલ્લુ રહેશે વાયબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન:કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન, ગુજરાત સૌર ઉર્જાનું મોડલ છે, જામનગરમાં મોટા પ્રમાણમાં રોકાણ થશે, સીરામીક સેમિનારમાં 1460 કરોડના MOU થયા

• મુલાકાતીઓ માટે દરરોજ સાંજે 5.30 વાગ્યે લકી ડ્રોનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ આજે પૂર્ણ થઇ છે અને હવે આગામી 15 તારીખ સુધી એક્ઝિબિશન ચાલુ રહેશે જેને દરેક જનતા નિહાળી શકશે તેમજ દરરોજ સાંજે 5.30 વાગ્યે એક્ઝિબિશનમાં લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ સમિટની મુલાકાત લીધી હતી અને તેમને સૌર ઉર્જા અંગે ખાસ ચર્ચા વિચારણા કરી હતી તેમને મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પહેલેથી જ સૌર ઉર્જાનું મોડલ રહ્યું છે અને આવતા દિવસોમાં જામનગરમાં સૌર ઉર્જા ઉપર મોટા પ્રમાણમાં રોકાણની પણ પુરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ સીરામીક સેમિનાર પણ યોજાયો હતો જેમાં કુલ1460 કરોડના મહત્વપૂર્ણ MOU થયા હતા. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના બીજા દિવસે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ સમિટમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સમિટને સંબોધન આપ્યું અને કેન્દ્ર સરકારની ઉર્જા નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી. પીયુષ ગોયલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી ત્યારથી સૌર ઉર્જા ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌર ઉર્જાને લઈ તેમની દ્રષ્ટિ સ્પષ્ટ હતી, જોકે તે સમયે તેમના નિર્ણયોની ટીકા પણ થઈ હતી. સૌર ઉર્જામાં એક વખત રોકાણ કરવાથી લાંબા સમય સુધી લાભ મળે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 2030 સુધી 20 મેગાવોટ સોલાર એનર્જીનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું, જેને નરેન્દ્ર મોદીએ વધારીને 100 મેગાવોટ કર્યું અને તેની સમયમર્યાદા 2030ના બદલે 2022 સુધી લાવવામાં આવી હતી. સોલાર એનર્જી ક્ષેત્રમાં રિવર્સ ઓક્શન જેવી નવી પ્રક્રિયાઓ પણ મોદી સરકારના શાસનકાળમાં શરૂ કરવામાં આવી. રૂફટોપ સોલાર યોજના દ્વારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014ની સરખામણીએ આજે દેશ 50 ગણી વધુ સોલાર પાવરનું ઉત્પાદન કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મફત યોજનાઓમાં નિર્ભર રહેવા કરતાં લોકોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે. મફતમાં વીજળી મેળવવાની જગ્યાએ લોકો પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવીને વીજળી બાબતે સ્વાવલંબન પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે દેશને 24 કલાક વીજળી કેવી રીતે મળી શકે અને આત્મનિર્ભરતા કેવી રીતે કેળવી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએમ કુસુમ યોજના થકી ખેડૂતોને સોલાર એનર્જીના માધ્યમથી આવક મેળવવાની તક પણ મળી રહી છે. આગામી વર્ષ 2030 સુધીમાં ભારત ગ્રીન એનર્જી ક્ષેત્રે 500 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે, જેના કારણે લોકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થશે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે તેમ તેમ સમગ્ર ભારતનો વિકાસ થશે. રાજકોટ મોરબી રોડ પર મારવાડી યુનિવર્સીટી ખાતે 26,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ એક્ઝિબિશનમાં 400થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓ અને નવીનતાઓ રજૂ કરવામાં આવી રહી છે. કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ, મત્સ્યઉદ્યોગ, સંરક્ષણ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો ઉપરાંત ટોરેન્ટ પાવર લિમિટેડ, કોસોલ, અદાણી ગ્રીન, એસ્સાર ગ્રુપ, નાયરા એનર્જી, જ્યોતિ CNC સહિતના અગ્રણી કોર્પોરેટ્સના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એક્ઝિબિશન છ વિશિષ્ટ થીમેટિક ડોમમાં આયોજિત કરવામાં આવી છે, જેમાં ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ, ક્રાફ્ટ્સ વિલેજ અને MSME પેવેલિયન, ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ પેવેલિયન, પબ્લિક સેક્ટર પાવરહાઉસનો સમાવેશ થાય છે. દરેક ડોમમાં પોપ-અપ સ્ટેજ દ્વારા નવા ઉત્પાદનોનું લોન્ચિંગ, ટેકનોલોજી ડેમો તેમજ મુલાકાતીઓ સાથે સીધો સંવાદ શક્ય બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ લકી ડ્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમુલાકાતીઓ માટે 12થી 15 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 5.30 વાગ્યે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, 42 ઇંચ LED ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન, ગિફ્ટ વાઉચર્સ અને ગિફ્ટ હેમ્પર્સ જેવા આકર્ષક ઇનામો આપવામાં આવશે. એક્ઝિબિશન સ્થળે વિવિધ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશના લોકનૃત્યો દ્વારા ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનું મનમોહક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉદ્યોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્રની શરૂઆત વિકસિત મોરબી થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રીશ્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો. આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 'કોન્ફરન્સ ઓન લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી એન્ડ સસ્ટેનેબિલિટી' (જમીન ધોવાણ તટસ્થતા અને ટકાઉપણું) વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટએ ગાંધીજીની શિક્ષા અને દીક્ષાની ભૂમિ રહી છે. ત્યારે સમતોલ અને ટકાઉ વિકાસની ગાંધીજીની વિભાવના મુજબ પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ સારી કામગીરી થઈ શકે એમ છે. પ્રકૃતિ સામે ઊભા થયેલા પડકારોને તકમાં ફેરવી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી નેત્રદીપક કામગીરી કરી રહ્યા છે. ગુજરાત એ દરિયો, પર્વતમાળા, રણ સહિતની વિવિધતાઓ ધરાવતું રાજ્ય છે ત્યારે અહીં સમતોલ વિકાસ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષો બાદ બરડા સેન્ચ્યુરીમાં સિંહનું પુનરાગમન થયું છે અને 17 મેમ્બર્સનું ફેમિલી બની શક્યું છે. ઉપરાંત, રતનમહાલમાં પણ વાઘનું પુન: આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ગ્રીન કવર વધારવા લોકોના સહકારની સાથે નર્સરીની ગુણવત્તા પણ મહત્વની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આયોજિત આ સેમિનારમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના મહત્વના પાસાઓ પર બે મુખ્ય ટેકનિકલ સત્રો યોજાયા હતા જેમાં એક છે સિંહના નિવાસસ્થાનનું સંરક્ષણ અને બીજું બન્ની ઘાસના મેદાનોનો પુનઃસંગ્રહ. આ સત્રમાં એશિયાટિક સિંહોના કુદરતી નિવાસસ્થાનને જાળવી રાખવા અને તેના ટકાઉ વિકાસ માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. કચ્છના વિશ્વવિખ્યાત બન્ની ઘાસના મેદાનોમાં ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને તેના સંરક્ષણ બાબતે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા 'રીજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ'ની થીમ સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં વન અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ગુજરાતના કુદરતી સંસાધનોના સંરક્ષણ સાથે આર્થિક વિકાસને કેવી રીતે જોડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:51 pm

સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોને સહાય અને મફત મેડિકલ સારવાર:સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 03 લાખ સુધીની સહાય, મૃત્યુ ઉપર પરિવારને 4 લાખની સહાય

ગુજરાત હાઇકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. જેને સુપ્રીમના હુકમ મુજબ સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર ચૂકવવા અને સારવાર માટે પોલીસી બનાવવા માંગ કરી છે. સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 03 લાખ સુધીની સહાયઆ અરજી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે, સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 3 લાખ રૂપિયા સુધીની સહાય કરવામા આવશે. તેમની તપાસ અને સારવારની ખર્ચો આપવામાં આવશે. દવાઓ માટે મહિને 1500 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે. સિલિકોસિસ બીમારીથી ઓળખવા કોઈ ઓળખકાર્ડ કે પ્રાવધાન કરોકોર્ટે સૂચન કર્યું હતું કે, સિલિકોસિસ બીમારીથી ઓળખવા કોઈ ઓળખકાર્ડ કે એવું પ્રાવધાન કરો અને તેઓ સુધી આ સહાયની માહિતી પહોંચાડો. સરકારી વકીલે કહ્યું હતું કે, અસરગ્રસ્ત શ્રમિકે મદદ મેળવવા માટે લેબર કમિશનર અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી સમક્ષ અરજી કરવી પડશે. તેના મેડિકલ ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે. સિલિકોસીસ ગ્રસ્ત શ્રમિકો કાયમી અશક્ત થતા કામ કરી શકે નહીંઅરજદારે જણાવ્યું હતું કે, આવા શ્રમિકોના પુનઃવસન માટે તેમને માસિક પેન્શન આપવાની પણ જરૂર છે. કોર્ટે તેમાં સુર પુરાવ્યો હતો કે સિલિકોસીસ ગ્રસ્ત શ્રમિકો કાયમી અશક્ત થતા તેઓ કામ કરી શકે નહીં, તો તેમને આર્થિક સહાયની જરૂર પડે. સરકારી વકીલે કહ્યું હતું કે, અહીં ગુજરાતમાં સૌથી વધુ અસરગ્રસ્ત શ્રમિકો છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, ગુજરાત એક ઔધોગિક રાજ્ય છે, જેથી અહીં બહારથી શ્રમિકો આવતા હોય છે. સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને ક્લિનિકમાં સારવાર થશેસરકારી વકીલે જણાવ્યું હતું કે, ઉપરોક્ત બાબતો સિવાય અંતિમ ક્રિયા, બાળકોના ભણતર વગેરે માટે પણ અલગ અલગ સ્કીમમાં તેઓ એપ્લાય કરી શકે છે. કોર્ટે 8 જાન્યુઆરી, લેબર અને સ્કીલ વિકાસ વિભાગના સેક્રેટરીની એફિડેવિટ રેકર્ડ ઉપર લીધી હતી. જેમાં સરકારે 7 જાન્યુઆરી, 2026 એ કરેલ ઠરાવ અંગે જણાવવામાં આવ્યું છે. જે મુજબ સિલિકોસીસ બીમારીથી પીડિત શ્રમિકોને 3 લાખ સુધી પીડિતને વળતર આપવામાં આવશે. તેઓનું નિદાન અને સારવાર ફ્રી કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને ક્લિનિકમાં સારવાર થશે. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ યોજાશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:44 pm

કચ્છના નાના રણમાં પારો 13 ડિગ્રી:મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠુઠવાયા, 24 કલાક પાણીમાં રહી કામ કરતા અગરિયાઓની હાલત દયનીય

રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નાના રણમાં તાપમાન ગગડીને 13 ડિગ્રી સેલ્સિયસની અંદર પહોંચી ગયું છે, જેના કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે. રાત-દિવસ 24 કલાક પાણીમાં રહીને કામ કરતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. રણકાંઠાના આશરે 3,000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે મહિના સુધી, એટલે કે આઠ મહિના સુધી, કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને શીત લહેરના કારણે આ ઠંડા પવનોનું જોર વધ્યું છે, જેના પરિણામે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. રણમાં 13 ડિગ્રીથી નીચે પહોંચેલા તાપમાનને કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. ખાસ કરીને, રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને કામ કરતા અગરિયાઓ માટે આ સ્થિતિ વધુ કપરી છે. વૃદ્ધ અગરિયાઓ, મહિલાઓ અને બાળકોની હાલત સૌથી કફોડી બની છે. દિવસનો સમય તો જેમ તેમ પસાર થઈ જાય છે, પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનોમાં રણમાં રાત વિતાવવી તેમના માટે અસહ્ય બની જાય છે. રણમાં કોઈપણ જાતની સુવિધા વગર કંતાનના ઝૂંપડામાં રહેતા આ પરિવારો માટે જાન્યુઆરી મહિનામાં જો ઠંડીનો ચમકારો વધશે તો મીઠું પકવવાનું કામ વધુ મુશ્કેલ બનશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:33 pm