વલસાડના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટીઝન સાથે ₹1.11 કરોડની છેતરપિંડી આચરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગબાજોએ CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ઉમરગામના 69 વર્ષીય આલોકકુમાર મૈતી ભોગ બન્યા હતા. ઠગબાજોએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. વૃદ્ધને ડરાવવા માટે આરોપીઓએ Skype પર વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ઓળખ TRAI, CBI અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ સુપ્રીમ કોર્ટના નકલી સ્ટેમ્પવાળો ઓર્ડર પણ બતાવ્યો હતો અને વૃદ્ધના જામીન નામંજૂર થયા હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આ રીતે, તેમણે વૃદ્ધ પાસેથી કુલ ₹1,11,11,111/- (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) ટ્રાન્સફર કરાવી લીધા હતા. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ એચ.જી. રબારીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડીના નાણાં સુરતના ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. બાતમીના આધારે પોલીસે સુરત અને કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુકેશ અનંતભાઈ પોળેકર (રહે. કતારગામ, સુરત), જય જમનભાઈ રાંક (ઉં.વ. 21, રહે. કતારગામ, સુરત), રોહિતકુમાર નિતેશભાઈ મુંજાણી (મૂળ ભાવનગર, હાલ સુરત) અને નિર્મળ નિતિનભાઈ સોલંકી (મૂળ ઉના, હાલ સુરત)નો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ કમિશનના બદલામાં નાણાં ઉપાડતા હતા અને સની નામના શખ્સ મારફતે આ રકમ દુબઈ મોકલવામાં આવતી હતી. આ કેસમાં આશિષ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વૃદ્ધના ₹20,94,991/- (વીસ લાખ ચોરાણું હજાર નવસો એકાણું રૂપિયા) હોલ્ડ કરાવીને પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ પોલીસે નાગરિકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કોઈપણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરતી નથી. તેમજ, કોઈ અધિકારી ફોન પર OTP, પિન કે પાસવર્ડ માંગતા નથી. જો કોઈ તપાસના નામે સેફ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહે, તો તે છેતરપિંડી જ છે. આવા શંકાસ્પદ કિસ્સામાં તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.
દમણ RTOમાં CBIનો દરોડો:લાંચ કેસમાં RTO અધિકારી બિપિન પવાર અને એજન્ટની ધરપકડ, રિમાન્ડ મંજૂર
દમણ RTO કચેરીમાં સીબીઆઈએ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. મુંબઈ સીબીઆઈની ટીમે બુધવારે સાંજે દમણની નવી RTO કચેરીમાં છટકું ગોઠવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં RTO ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને સેલવાસના એજન્ટ મુકુંદ કોંકણીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના એક અરજદાર દ્વારા નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાની લેખિત ફરિયાદના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સીબીઆઈએ કચેરીમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી હતી. સઘન પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે RTO અધિકારી બિપિન પવારના પાંચ દિવસના અને એજન્ટ મુકુંદ કોંકણીના ત્રણ દિવસના સીબીઆઈ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસ માટે મુંબઈ સીબીઆઈ બંનેને મુંબઈ લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2009-10માં આ કચેરી સી-ફેસ રોડ પરથી અહીં શિફ્ટ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સીબીઆઈએ 3 થી 4 વખત દરોડા પાડ્યા છે. અગાઉ પણ બે RTO ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં, ભ્રષ્ટાચારનું આ નેટવર્ક સક્રિય રહ્યું છે. હાલમાં સીબીઆઈ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કેસનો રેલો પડોશી સંઘપ્રદેશ સેલવાસ સુધી પહોંચવાની અને આ સાંઠગાંઠમાં અન્ય વહીવટી અધિકારીઓ તેમજ મોટા માથાઓના નામ ખુલવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
સુરત મહાનગરપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીની લાઇનના સમારકામ સાથે જોડાયેલા ઇજારદાર રવીન્દ્ર ખેરનારને ભાજપે ઉધના (વૉર્ડ નં. 24) ના ઉમેદવાર જાહેર કરતા જ મોટો વહીવટી અને કાયદાકીય વિવાદ સર્જાયો છે. ચૂંટણી લડવા માટે કામગીરી અધવચ્ચે છોડી દેતા પાલિકા તંત્રએ હવે આકરા પગલાં લેવાની તૈયારી કરી છે. લોકહિતના કામો ખોરવાતા પાલિકાની લાલ આંખઇજારદાર રવીન્દ્ર ખેરનારની એજન્સી પાલિકામાં અત્યાધુનિક કેમેરા ઇન્સ્પેક્શન ટેકનોલોજી દ્વારા ગંદા પાણીના મિશ્રણ અને લીકેજ શોધવાનું મહત્વનું કામ કરતી હતી. ફેબ્રુઆરી 2026માં મળેલા વર્ક ઓર્ડર મુજબ 15 લાખના કામ સામે માત્ર 2.50 લાખનું કામ જ પૂર્ણ થયું છે. મુખ્ય ઇજારદાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થતા નિષ્ણાતો અને મશીનરીના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં પાણી-ગટરના ફોલ્ટ શોધવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કાયદાકીય ગૂંચ અને લાયસન્સ સરન્ડરનો આદેશપાલિકાના નિયમો મુજબ, કોઈ પણ ચાલુ ઇજારદાર આર્થિક લાભ મેળવતો હોય ત્યાં સુધી ચૂંટણી લડી શકે નહીં. હાઇડ્રોલિક વિભાગ અને ઉધના ઝોને ખેરનારને તાત્કાલિક અસરથી તેમનું લાયસન્સ સરન્ડર કરવા તાકીદ કરી છે. અધિકારીઓના મતે, પૂર્વ મંજૂરી વિના કામ અટકાવવું એ કરારનો સીધો ભંગ છે, જેના માટે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. સંભવિત દંડાત્મક કાર્યવાહીપાલિકા કમિશનર કચેરી દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત મુજબ ઇજારદાર સામે કડક પગલાં લેવાઈ શકે છે. કામ અધૂરું છોડવા બદલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. ભવિષ્યમાં પાલિકાના કોઈ પણ ટેન્ડરમાં ભાગ ન લઈ શકે તે માટે એજન્સીને 5 વર્ષ માટે ડિબાર કરવાની ભલામણ. એજન્સીનું બાકી નીકળતું અંદાજે 2.50 લાખનું પેમેન્ટ હાલ અટકાવી દેવાયું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળતા જ સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ રદ કરી નવા ઇજારદારની પ્રક્રિયા હાથ ધરાશે. વહીવટી તંત્રના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી લડવી એ વ્યક્તિગત હક હોવા છતાં, તેના કારણે જાહેર જનતાના કામોમાં અવરોધ ઊભો કરનાર સામે પાલિકા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.
વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી શંકરભાઈ કિશનભાઈ વાલવીએ બીમારી મટાડવાના બહાને સગીરાનો વિશ્વાસ કેળવી આ કૃત્ય આચર્યું હતું. કોર્ટે આરોપીને કુલ ₹26,000નો દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના કપરાડા તાલુકાના એક ગામમાં બની હતી. સગીર વયની બાળકીની તબિયત ખરાબ રહેતી હોવાથી, તેના પરિવારજનો તેને કપરાડાના આસલોના ગામના શંકર વાલવીના ઘરે લઈ ગયા હતા. આરોપીએ પરિવારને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે તે છોકરીને સાજી કરી દેશે અને પ્રાર્થનાથી બધું સારું થઈ જશે. આરોપીની વાતોમાં આવીને ભોળા પરિવારે પોતાની દીકરીને તેના ઘરે મૂકી હતી. આનો લાભ ઉઠાવી, 6 ઓક્ટોબર, 2025ના રોજ આરોપી સગીરાને બાઈક પર બેસાડી દિવસભર અલગ-અલગ જગ્યાએ ફેરવી હતી. ત્યારબાદ મોડી રાત્રે દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર આવેલા ડુંગર પર લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસ વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ બી. આર. પ્રજાપતિની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 65(1) હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 4(2) હેઠળ 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, અન્ય કલમો (64(2)(J) અને 68(A)) હેઠળ પણ કેદ અને દંડની સજા કરવામાં આવી છે, જેનો કુલ દંડ ₹26,000 થાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સમાજમાં આવા કૃત્યો કરનારા લોકો પ્રત્યે કોઈ રહેમ રાખવી જોઈએ નહીં. આ ચુકાદાથી આવા ગુનાઓ આચરનારા તત્વોમાં કાયદાનો ભય પેદા થયો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં ગત બુધવારે સાંજે બનેલી અપહરણની સનસનીખેજ ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં માસૂમ યક્ષને હેમખેમ છોડાવી લીધો છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ અપહરણ પાછળ કોઈ ગેંગ નહીં પરંતુ બાળકના સગા કાકાએ જ કૌટુંબિક અદાવતમાં પોતાની ભાભીને પાઠ ભણાવવા આ કાવતરું ઘડ્યું હતું. ગાર્ડનમાંથી ફિલ્મી ઢબે અપહરણગત 15 એપ્રિલના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં યક્ષ જ્યારે સોસાયટીના ગાર્ડનમાં રમી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલક તેને લલચાવી-ફોસલાવીને કારમાં બેસાડી ફરાર થઈ ગયો હતો. પરિવારે શોધખોળ બાદ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. કૌટુંબિક કંકાસ અને વેરની વસૂલાતપોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગુના પાછળ ઘરનો જ સભ્ય જવાબદાર હતો. આરોપી કાકાની પત્ની તેને છોડીને જતી રહી હતી. તેને શંકા હતી કે આ પારિવારિક વિખવાદ પાછળ તેની ભાભી જવાબદાર છે. ભાભી પર દબાણ લાવવા અને તેમને માનસિક ત્રાસ આપવા માટે કાકાએ પોતાના જ માસૂમ ભત્રીજાને હથિયાર બનાવી તેનું અપહરણ કર્યું હતું. અગાઉ બાળકના પિતા પણ બ્લેકમેલિંગના વિવાદમાં ફસાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે પરિવારમાં લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. પોલીસનું સફળ ઓપરેશનસીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શંકાના આધારે કાકાની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે બાળકને હેમખેમ છોડાવી રાત્રે જ તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. અડાજણ પોલીસે આરોપી કાકાની અટકાયત કરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
લુણાવાડા હાઇવે પર ખાડાથી અકસ્માતો વધ્યા:અંબે માતા મંદિર પાસે હાઇવે ઓથોરિટીની બેદરકારી
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતા ગોધરા-મોડાસા મુખ્ય હાઇવે પર હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. અંબે માતાના મંદિર પાસે હાઇવેની વચ્ચોવચ પડેલા એક મોટા ખાડાને કારણે વાહનચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ખાડામાં માત્ર ડસ્ટ નાખીને કામચલાઉ પુરાણ કરવામાં આવ્યું છે. યોગ્ય લેવલિંગ ન કરાતા આ રસ્તો વાહનચાલકો માટે વધુ જોખમી બન્યો છે, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે. તાજેતરમાં, એક સ્કૂટર ચાલક આ ખાડામાં લેવલિંગ વિનાના પુરાણને કારણે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેને ઇજાઓ પહોંચી હતી અને તેના વાહનને પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ખાડાને કારણે અત્યાર સુધીમાં અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. તેમ છતાં, હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ ખાડાને યોગ્ય રીતે પૂરીને રિપેર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ટાળી શકાય.
પંચમહાલ જિલ્લામાં ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા મતદારોને જાગૃત કરવાનો છે.ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાઈને લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે. અભિયાન હેઠળ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ દ્વારા લોકશાહીમાં મતના મૂલ્ય વિશે સમજ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીઓ પણ કાઢવામાં આવી હતી. આ રેલીઓમાં મારો મત, મારો અધિકાર, લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા અને દેશના વિકાસ માટે મતદાન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વાલીઓ તથા ગ્રામજનોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારના હિરાબાગમાં બે દાયકાથી કાર્યરત 'સવાણી આઈ હોસ્પિટલ' દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક લેસિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના નેત્રરોગ નિષ્ણાત ડો.સંજય સવાણીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સુરતવાસીઓએ આંખના નંબર ઉતારવા બહાર નહીં જવું પડેઆ તકે નેત્રરોગ નિષ્ણાત ડો. સંજય સવાણીએ કહ્યું હતું કે, સવાણી આઈ હોસ્પિટલમાં AI આધારિત લેસિક સુવિધાનો પ્રારંભ થવાથી સુરતવાસીઓએ આંખના નંબર ઉતારવા (લેસિક સર્જરી) માટે અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહી. જર્મન ટેકનોલોજી ધરાવતા Schwind Amaris મશીન દ્વારા ટચલેસ, ફ્લેપલેસ અને પેઈનલેસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધી જે દર્દીઓની કીકી પાતળી હોવાને કારણે નંબર ઉતારવા શક્ય ન હતું તેઓ પણ હવે સુરક્ષિત રીતે સારવાર કરાવી શક્શે. વધુમાં ડો.સવાણીએ ઉમેર્યું હતું કે, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના માધ્યમથી આંખની કીકીનું સચોટ નિદાન કરી આંખને સ્પર્શ કર્યા વગર જ લેસર દ્વારા સારવાર કરવામાં આવશે. લેસિકની જેમ આંખમાં કોઈપણ પ્રકારનો કાપો કે ફ્લેપ બનાવવાની જરૂર રહેતી નથી અને આ સમગ્ર પ્રક્રિયા તદ્દન દર્દ રહિત છે. આ જર્મન ટેક્નોલોજી દ્વારા ફ્લેપલેસ અને પેઈનલેસ ટ્રીટમેન્ટ મળવાથી સારવારના ગણતરીના કલાકોમાં જ દર્દી પોતાની સામાન્ય દિનચર્યા શરૂ કરી શકે છે. સુરક્ષિત રીતે આંખના નંબરથી મુક્તિ મળશેડો. સંજય સવાણીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય સુરત અને આસપાસના વિસ્તારના લોકોને વિશ્વસ્તરીય સુવિધાઓ ઘરઆંગણે પૂરી પાડવાનો છે. આજની યુવા પેઢી, જેમને સ્પોર્ટ્સ, ડિફેન્સ કે ગ્લેમર ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે, તેમના માટે ચશ્મા અવરોધરૂપ બનતા હોય છે. AI આધારિત આ લેસિક ટેકનોલોજીથી અહીંયા સુરક્ષિત રીતે આંખના નંબરથી મુક્તિ અપાવી શકીએ છીએ. વરાછા વિસ્તારની હિરાબાગ ખાતે કાર્યરત સવાણી આઈ સેન્ટરના આ આધુનિકીકરણથી હવે સુરતીઓને અત્યાધુનિક સારવાર માટે મુંબઈ કે અમદાવાદ નહી જવું પડે. આ સેન્ટર ખાતે લેસિક ઉપરાંત આંખના અન્ય જટિલ રોગોનું નિદાન પણ આધુનિક મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હિંમતનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં નિકોડા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ભાજપના ઉમેદવાર નિર્મલ પટેલ બિનહરીફ વિજેતા બન્યા છે. આ બેઠક પરથી ફોર્મ પરત ખેંચનાર કોંગ્રેસના હરીફ ઉમેદવાર પોપટભાઈ પટેલ નિકોડા અને આસપાસના 45થી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ હિંમતનગરમાં જિલ્લા કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપીનભાઈ ઓઝા અને પ્રેમલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભગીરથસિંહ ઝાલા અને યુવા મોરચાના તાલુકા પ્રમુખ ભાવિકભાઈ રબારી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના પરિવાર ચાર રસ્તા ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ના ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદયસભા દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આદિવાસી પ્રદેશોના પ્રવાસ દરમિયાન મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વંદન અધિનિયમને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે અંકિત થશે, કારણ કે માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય થયો છે. દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના પ્રવાસ દરમિયાન બહેનો અને દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવાદન અને આશીર્વાદ આપ્યા હતા. દેશ ગંગા અને ગીતાથી તેમજ દુર્ગા અને મા અંબાથી ઓળખાય છે. દેશના ઇતિહાસમાં નારીઓનું સન્માન સર્વોચ્ચ પદે રહ્યું છે. કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો?તેમણે વડાપ્રધાનને બંને હાથ જોડીને વંદન કરતાં આભાર માન્યો અને કહ્યું કે, આવનારા દિવસોમાં નારી શક્તિ વંદન અધિનિયમ અન્વયે સંસદમાં 33 ટકા મહિલાઓને નેતૃત્વનો અવસર મળશે. સંઘવીએ ભાઈઓને સંબોધતાં કહ્યું, ભાઈઓ દુ:ખી ન થશો, બહેનો તમારું કંઈ લૂંટી લેવાની નથી. તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પ્રશ્ન કરતાં પૂછ્યું, રાહુલ ગાંધીની બહેન, અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે છે, લાલુ પ્રસાદ યાદવની પત્ની મુખ્યમંત્રી બની શકે છે, તો ગુજરાતની સામાન્ય દીકરી સંસદમાં કેમ બેસી શકે નહીં? કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો? કોંગ્રેસીઓએ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએવધુમાં કહ્યું કે, ગુજરાતની સામાન્ય પરિવારની બહેનો અને દીકરીઓએ સાંસદ બનવું જ જોઈએ. કોંગ્રેસીઓએ આ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએ. એક તરફ પરિવારવાદી રાજનીતિ અને બીજી તરફ વડાપ્રધાનના ઉત્તમ વિચારો વચ્ચે તફાવત સ્પષ્ટ છે. મોટા નેતાઓની દીકરીઓ કે પત્નીઓ નહીં, પરંતુ દેશની સામાન્ય વર્ગની દીકરીઓ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધોહર્ષ સંઘવીએ ગુજરાતની જનતા અને ભાજપને દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ ગણાવ્યું હતું. તેમણે રાજ્યના હિતમાં નાગરિકો સાથે મળીને ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ કે તેના સાથી પક્ષો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરે તો ગુજરાતીઓ તેમને ક્યારેય છોડતા નથી. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધો છે. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયોતેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસીઓ અને આમદ આદમી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ વર્ષે EVM તેમજ કોંગ્રેસીઓ બંને થાકી ગયા છે. કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી અને તે દેશની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં 200થી વધુ સીટો પર ભાજપનો વિજય થયો છે. જેમને જાહેર માહોલ સમજાતો હતો અને લોકો તેમને ઘરમાં ઘૂસવા દેતા નહોતા, તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો છે. સંઘવીએ આહ્વાન કર્યું કે દસ હજારનો આંકડો આપણે સાથે મળીને પાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પક્ષ ગુજરાતી કે ગુજરાતને બદનામ કરવાની હિંમત ન કરી શકે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયાપ્રવાસ દરમિયાનના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, પંજો અભરાઈ ગયો છે, કાર્યાલયોના શટરો બંધ દેખાય છે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયા છે. તેમણે લોકોને સલાહ આપી કે જો આવા લોકો તમારી સોસાયટીમાં આવે તો તેમને બહાર કાઢતા પહેલાં એક સવાલ પૂછજો “ખડગેજીને આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કે રાહુલ ગાંધીએ લખી આપ્યું હતું?” પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાનાપૂર્વ ભાજપના સસ્પેન્ડ થયેલા અને હાલ કોંગ્રેસનો હાથ પકડનાર આશિષ જોષીને નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તાયફો કરનારા જનસેવકોથી વડોદરાના વાસીઓ કંટાળી ગયા છે. જે લોકો પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા છે, તેઓ ઘર ભેગા થવાના છે. લોકો પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો? આ વખતે લોકો તેમને ઘર ભેગા કરવાના છે.
સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી દ્વારા શહેરને વૈશ્વિક સ્તરે લઈ જવાની ખાતરી આપી છે. બીજી તરફ, કોંગ્રેસે મધ્યમ વર્ગને કરવેરામાં મોટી રાહતો આપીને આર્થિક બચત કરાવવાનું વચન આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ મફત વીજળી અને પાણીની ગેરંટી આપીને સામાન્ય જનતાને સીધો ફાયદો પહોંચાડી મતદારોને પ્રભાવિત કરવાનો વ્યૂહાત્મક પ્રયાસ શરૂ કર્યો છે. ભાજપનું સ્માર્ટ સુરત અને આધુનિક શિક્ષણભાજપના 'સંકલ્પ પત્ર 2026' માં સુરતને સ્માર્ટ અને હાઈટેક સિટી બનાવવાનો મજબૂત રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. પક્ષે પ્રાથમિક શિક્ષણથી આગળ વધીને હવે મહાનગરપાલિકા હસ્તકની નવી આધુનિક કોલેજો શરૂ કરવાનું વચન આપ્યું છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજી જેવા અદ્યતન વિષયોનો સમાવેશ કરવામાં આવશે. ભાજપ ટેકનોલોજીના માધ્યમથી સુરતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા માંગે છે, જે શહેરના શૈક્ષણિક સ્તરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન પર ભાજપનો ભારભાજપે સુરતના ભૌતિક વિકાસ માટે અનેક આઈકોનિક પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, જેમાં 107.60 મીટર ઊંચું નવું વહીવટી ભવન મુખ્ય આકર્ષણ છે. શહેરમાં 24 કલાક શુદ્ધ પાણીનો પુરવઠો અને સિમેન્ટ કોંક્રીટના ટકાઉ રસ્તાઓ બનાવવાનો સંકલ્પ લેવાયો છે. 'વન સિટી વન કાર્ડ' યોજના દ્વારા મેટ્રો, BRTS અને સિટી બસમાં એક જ કાર્ડથી મુસાફરીની સુવિધા અપાશે. આ ઉપરાંત, સોલર પ્લાન્ટ દ્વારા પાલિકાનું વીજળી બિલ શૂન્ય કરવાનું લક્ષ્ય રાખી પર્યાવરણ અને આર્થિક બચતનો સમન્વય સાધવામાં આવ્યો છે. કોંગ્રેસની કરમુક્તિ અને મહિલા કલ્યાણ યોજનાકોંગ્રેસે પોતાના ઢંઢેરામાં મધ્યમ વર્ગ અને મહિલાઓને આર્થિક રાહત આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પક્ષે વચન આપ્યું છે કે, જે મિલકતો મહિલાઓના નામે હશે, તેમના વેરામાં સીધો 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરાઈ છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે દરેક ઝોનમાં 'મહિલા સંચાલિત વિકએન્ડ બજાર' શરૂ કરવામાં આવશે, જે ગૃહિણીઓને સ્વરોજગારની નવી તકો પૂરી પાડશે. આરોગ્ય અને શ્રમિકો માટે કોંગ્રેસના વાયદાશહેરના મહેનતુ સુરતીઓ અને શ્રમિક વર્ગ માટે કોંગ્રેસે 'ઇન્દિરા કેન્ટીન' શરૂ કરવાનું વચન આપ્યું છે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહેશે. આરોગ્ય ક્ષેત્રે પક્ષે દરેક ઝોનમાં આધુનિક હેલ્થ સેન્ટરો સ્થાપવાની અને વરિષ્ઠ નાગરિકોને મફત હેલ્થ કાર્ડ આપવાની ખાતરી આપી છે. ખાડી પૂરનો કાયમી નિકાલ કરવા માટે અલગ ફંડની જોગવાઈ અને પર્યાવરણ જાળવણી માટે વાર્ષિક 10 ટકા ગ્રીન કવર વધારવાનું લક્ષ્ય કોંગ્રેસના પ્રજાલક્ષી અભિગમને સ્પષ્ટપણે દર્શાવે છે. આમ આદમી પાર્ટીનું શિક્ષણ અને આરોગ્ય મોડલઆમ આદમી પાર્ટીએ સુરતમાં પણ દિલ્હી અને પંજાબની જેમ 'ફ્રી મોડલ' પર દાવ ખેલ્યો છે. પક્ષના 'અધિકાર પત્ર' મુજબ સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતા વધુ આધુનિક બનાવવાની ગેરંટી આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવા માટે દરેક વોર્ડમાં જનતા ક્લિનિક અને હાઈટેક સરકારી હોસ્પિટલો બનાવવાનું વચન અપાયું છે. આપનો મુખ્ય એજન્ડા શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને નફાખોરીથી મુક્ત કરી સામાન્ય જનતા માટે સુલભ બનાવવાનો છે, જે મધ્યમ વર્ગને આકર્ષી શકે છે. મફત વીજળી, પાણી અને રોજગાર ગેરંટીઆમ આદમી પાર્ટીએ મધ્યમ અને ગરીબ વર્ગને આકર્ષવા માટે મફત વીજળી અને શુદ્ધ પાણી આપવાની મોટી જાહેરાત કરી છે. પક્ષે યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાની અથવા રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવાની ગેરંટી આપી છે. મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે માસિક સહાય યોજનાની પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. આપની આ વ્યૂહરચના સીધી રીતે ઘરગથ્થુ બજેટમાં રાહત આપતી હોવાથી ચૂંટણીમાં મોટો નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે તેમ રાજકીય વિશ્લેષકો માને છે. તાપી નદી અને પર્યાવરણની જાળવણીસુરતની જીવાદોરી સમાન તાપી નદીના મુદ્દે ત્રણેય પક્ષોએ અલગ-અલગ અભિગમ અપનાવ્યો છે. ભાજપ તાપી રિવરફ્રન્ટના વિકાસ અને પ્રવાસન પર ભાર મૂકે છે, જ્યારે કોંગ્રેસે નદીના શુદ્ધિકરણ માટે અલાયદું ફંડ ઉભું કરી જળચર પ્રાણીઓની જાળવણીનું વચન આપ્યું છે. આમ આદમી પાર્ટી પ્રદૂષણ મુક્ત તાપી અને ગ્રીન સુરત માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ખાતરી આપી રહી છે. પર્યાવરણના રક્ષણ માટે સોલર એનર્જી અને પ્લાન્ટેશન ડ્રાઈવ ત્રણેય પક્ષોના એજન્ડામાં સમાન રીતે મહત્વના મુદ્દાઓ તરીકે સ્થાન પામ્યા છે. ટ્રાફિક સમસ્યા અને વહીવટી પારદર્શિતાશહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ભાજપ ડ્રોન મોનિટરિંગ અને એરિયલ લેડર પ્લેટફોર્મ જેવી ટેકનોલોજીનો પ્રસ્તાવ મૂકે છે. કોંગ્રેસે આડેધડ ઈ-ચલણથી જનતાને મુક્તિ અપાવવાની અને પાર્કિંગ વ્યવસ્થા સુધારવા રહેઠાણ મિલકતોની FSI વધારવાની વાત કરી છે. વહીવટમાં પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે સિંગલ વિન્ડો સિસ્ટમ અને આપ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કડક પગલાંની ગેરંટી અપાઈ છે. ત્રણેય પક્ષો સુરતીઓને વહીવટી જટિલતાઓમાંથી મુક્તિ અપાવી ઓનલાઈન સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે સંમત દેખાય છે. સાંસ્કૃતિક વારસો અને રમત-ગમતની સુવિધાસુરતીઓની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દરેક ઝોનમાં 'ફેસ્ટિવલ પાર્ક' અને રમત-ગમત માટે મોટા મેદાનો બનાવવાનું વચન આપ્યું છે. ભાજપે પોતાની પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવો પર કતલખાના બંધ રાખવાની અને જીવદયા સંસ્થાઓને સહાયની નીતિ ચાલુ રાખવાની ખાતરી આપી છે. 'આપ' દ્વારા યુવા પેઢીને સ્પોર્ટ્સમાં આગળ લાવવા માટે આધુનિક ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક અને રમત-ગમતલક્ષી વચનો સુરતના યુવા મતદારો અને મધ્યમ વર્ગના પરિવારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ‘વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના ધારાસભ્ય સંજીવ ઝા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીએ બાપુનગરના વિવિધ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વર્તમાન શાસન સામે આક્ષેપો કર્યા હતા. આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશેપાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે, ભ્રષ્ટ શાસનથી જનતા હવે કંટાળી ગઈ છે અને પરિવર્તન માટે તૈયાર છે. સભામાં ઉપસ્થિત લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. AAPના નેતાઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશે અને રાજ્યમાં નવી રાજનીતિક દિશા આપશે. આમ આદમી પાર્ટી દ્વારા આ સભાને સફળ ગણાવીને આગામી ચૂંટણી માટે સકારાત્મક સંકેત તરીકે રજૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે રેડ કરી હતી.આ રેડ દરમિયાન ઘરમાંથી કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ તથા બિયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના ચાર આરોપીની શોધખોળ શરુ કરી છે. 18 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડANTF સ્કોડને બાતમી મળી હતી કે, જેના આધારે બોપલ ઘુમા રોડ પાસેના આરોહી ક્લબ પાસે વીવીઆના ફ્લેટમાં રેડ કરી હતી ત્યારે ભાડેથી રહેતા નિશાંત સોલંકી નામના યુવકના ઘરમાંથી લાખો રૂપિયાના નશાના સમાનનો જથ્થો એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એન્ટી નાર્કોટીકસ ટાસ્ક ફોર્સે 102.59 ગ્રામ એમ.ડી ડ્રગ, 46.64 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 8.88 ગ્રામ કોકેઇન અને વિદેશી દારુની 6 બોટલ તથા 24 બીયરના ટીન, 4 મોંઘાદાટ મોબાઈલ ફોન સહીત કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને ફરાર અન્ય ચાર આરોપીની તલાશ શરુ કરી છે. ફરાર આરોપીઓ
સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ સચીન વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને દારૂની હેરાફેરી કરતા એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને થાપ આપવા માટે આરોપી એક જ લક્ઝરી ગાડીમાં ચાર અલગ-અલગ નંબર પ્લેટોનો ઉપયોગ કરતો હોવાની ચોંકાવનારી વિગત તપાસમાં સામે આવી છે. દારૂની હેરાફેરીમાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગબુટલેગરો સામાન્ય રીતે જૂની કે સસ્તી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ગાડીનો સાચો નંબર GJ27-AP-2296 હતો. દરોડા સમયે ગાડી પર GJ21-BC-3070 નંબરની પ્લેટ હતી, જ્યારે ગાડીની અંદરથી અન્ય બે પ્લેટો (GJ05-JR-7924 અને GJ15-CD-9755) પણ મળી આવી હતી. હાઈવે પરના CCTV કેમેરા અને વિવિધ જિલ્લાના પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપી સમયાંતરે રસ્તામાં જ નંબર પ્લેટ બદલી નાખતો હતો. 6 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડPCBની ટીમે વક્તાણા નહેર પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડીને ઘેરી લીધી હતી. આ કાર્યવાહીમાં ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા (ઉ.વ. 39), રહે. રાંદેર (મૂળ રાજસ્થાન), ની ધરપકડ કરવામાં આવી છે. ₹1.13 લાખનો દારૂ (402 બાટલી), ₹5 લાખની ક્રેટા ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹6,23,880 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દમણથી સુરતનું દારૂ કનેક્શનપૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના દેવકા બીચ પાસે રહેતા જ્યોતિ નામના શખ્સે મોકલ્યો હતો, જે સુરતના વેસુ વિસ્તારના ચિંતન ઉર્ફે ચિન્ટુ ને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ મોડસ ઓપરેન્ડી (M.O.) સાથે કેટલી વાર દારૂ સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે. સચીન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકાની ચાવંડ બેઠક હાલમાં વિવાદનું કેન્દ્ર બની છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ઉમેદવાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. શું છે સમગ્ર વિવાદ?ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ પક્ષે વડીલ ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ, ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ આ તોડફોડ કરવામાં આવી છે. જેની ઠુંમરના સોશિયલ મીડિયા પર પ્રહારપ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમર દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે માયાભાઈ આહીરના જમાઈએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા છે. જેની ઠુંમરે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે. માયાભાઈ આપ તો ભારતીય સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો, પરંતુ જ્યારે તમારી દીકરી ચૂંટણી લડી રહી હોય ત્યારે આવી ઘટનાઓ તમારી અને તમારા વેવાઈની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજીઆ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજકીય સમીકરણોઅમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં બેઠકો જીતવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના વિકાસના કામો અને જાણીતા ચહેરાઓના સહારે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકશાહીના મૂલ્યો અને 'દાદાગીરી'ના મુદ્દા ઉઠાવીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ચાવંડ બેઠક પર સર્જાયેલી આ ખેંચતાણ હવે આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને પૂરઝડપે હંકારતા વાહનોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ઠક્કરનગર બ્રિજ અને રખિયાલ વિસ્તારમાં સર્જાયેલા બે ગંભીર અકસ્માતોમાં એક ડિલિવરી બોય અને એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રાફિક પોલીસે બંને મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પહેલી ઘટના: ઠક્કરબાપાનગર બ્રિજ પર બે બાઈક વચ્ચે ટક્કરરાત્રિના સમયે ઠક્કરબાપાનગર બ્રિજ પર બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડિલિવરી બોય ચંદ્રકાંતભાઈ પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી બાઈક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રકાંતભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. બીજી ઘટના: રખિયાલમાં હિટ એન્ડ રનની ઘટનારખિયાલના રામીની ચાલી વિસ્તારમાં એક અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાને અડફેટે લીધા હતા. 68 વર્ષીય સુશીલાબેન પરમાર રાત્રિના સમયે પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે પુરઝડપે આવેલા ટુ-વ્હીલર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સુશીલાબેન રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક ઊભો રહેવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે બંને બનાવોમાં ગુનો દાખલ કર્યો છે. રખિયાલની ઘટનામાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ફરાર વાહનચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરી શકાય. શહેરમાં વધતા જતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સત્તાવાર આંકડા:39,349 ફોર્મમાંથી 11,433 રદ, 694 બેઠકો બિનહરીફ થઈ
રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ મુજબ તાજેતરના અપડેટેડ આંકડા સામે આવ્યા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. રાજ્યભરમાં કુલ 39,349 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાંથી 1,654 ફોર્મ પાછા ખેંચાયા, 11,433 ફોર્મ રદ થયા, જ્યારે 694 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હાલમાં કુલ 25,568 ઉમેદવારો હરીફાઈમાં રહ્યા છે, જેના કારણે ચૂંટણીમાં રસપ્રદ ટક્કર સર્જાઈ છે. આ આંકડાઓ મુજબ મોટા પ્રમાણમાં ફોર્મ રદ થતા ચકાસણી પ્રક્રિયા કડક રહી હોવાનું સ્પષ્ટ થાય છે. બીજી તરફ 694 બેઠકો બિનહરીફ થવી રાજકીય રીતે મહત્વપૂર્ણ બાબત બની છે. મહાનગરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી હરીફાઈ અને બિનહરીફ જીતનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, જે આવનારી મતદાન પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવશે. મહાનગરપાલિકા વાઇઝ વિગત જિલ્લા પંચાયત વાઇઝ વિગત નગરપાલિકા વાઈઝ વિગત તાલુકા પંચાયત વાઈઝ લિસ્ટ
વડોદરા મહાનગર પાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 1 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન પોલીસે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે શહેરભરમાં વિવિધ સ્તરે પગલાં લીધા છે. શસ્ત્રો જમા કરાવવાની કામગીરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં લાયસન્સ ધરાવતા 2364 હથિયાર પરવાનેદારોમાંથી 1824 હથિયારો પોલીસ મથકે જમા કરાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક સિક્યુરિટી અને સ્પોર્ટ્સ એકેડેમી જેવા 506 ધારકોને મુક્તિ આપવામાં આવી છે.પ્રોહિબિશન અને બુટલેગરો પર ત્રાટકેલી પોલીસ દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હિસ્ટ્રીશીટર અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરી છે: પ્રોહિબિશન 585 કેસ નોંધવામાં આવ્યા છે.જેમાં 1617 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 32.26 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 6308 જપ્ત કરી છે. પોલીસે કુલ 59.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અટકાયતી પગલાં અને વોરંટ બજવણી ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ચૂંટણીમાં ખલેલ ન પહોંચાડે તે માટે 2654 જેટલી વ્યક્તિઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અને પાસા હેઠળ પગલાં લેવાયા છે:આ ઉપરાંત, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ 1139 બિન-જામીનપાત્ર વોરંટ (NBW) બજાવવામાં આવ્યા છે, જે કુલ વોરંટના 87% છે. વાહન ચેકિંગ અને અન્ય વિગતો વડોદરા શહેરના 11 ચેક-પોસ્ટ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 10,170 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 71 કેસ નોંધાયા છે. 228 વાહનો ડિટોઈન કરાયા છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કડક ઝુંબેશ ચાલુ રહેશે, જેથી નાગરિકો કોઈપણ ભય વગર મતદાન કરી શકે.
મહેસાણા જિલ્લાના મીઠાથી જોટાણા જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ખારા અને હરસિદ્ધ વાડી વચ્ચે એક બાઈક અને દૂધના વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. બે યુવાનોના મોતથી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યુંઅકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર વિશાલ કુમાર ચૌધરી (ઉંમર: 30 વર્ષ, રહે. ખારા) અને કિશન બાબુભાઈ રાવળ (ઉંમર: 32 વર્ષ, રહે. જોટાણા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બે યુવાનોના અકાળે અવસાનથી ખારા અને જોટાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતોઅકસ્માત બાદ બાઈકમાં લાગેલી આગ અને રસ્તા પર થયેલી ભીડને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સાંથલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જોટાણા સી.એચ.સી. (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને દૂધના વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 120 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, પરંતુ તેમાંથી 31 ઉમેદવારો માટે એક મહત્વનો શિસ્તબદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટીના 'એક વ્યક્તિ એક પદ'ના સિદ્ધાંતને અનુસરીને, સંગઠનમાં હોદ્દો ધરાવતા આ તમામ 31 નેતાઓએ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. કેમ લેવાયો આ નિર્ણય?ભારતીય જનતા પાર્ટી તેના સંગઠનાત્મક માળખા અને શિસ્ત માટે જાણીતી છે. સુરત મનપાની ચૂંટણીમાં જે 120 ઉમેદવારોને ટિકિટ મળી છે, તેમાંથી 31 એવા છે જેઓ હાલ શહેર સંગઠન કે અન્ય મહત્વના હોદ્દાઓ પર કાર્યરત છે. પક્ષના આદેશ મુજબ ઉમેદવારો સંગઠનની જવાબદારીમાંથી મુક્ત થઈને માત્ર પોતાની બેઠકની જીત અને ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી શકે. આ નેતાઓના રાજીનામાં બાદ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવા અને ઉત્સાહી કાર્યકરોને સ્થાન મળશે, જેનાથી પક્ષનું માળખું વધુ મજબૂત બનશે. કોઈપણ વ્યક્તિ એકસાથે સત્તા અને સંગઠન એમ બે જવાબદારી ન નિભાવી શકે તેવો પક્ષનો નૈતિક અને ટેકનિકલ નિયમ છે. સંગઠન અને સત્તા વચ્ચે સંતુલનભાજપ હાઈકમાન્ડ આ નિર્ણય દ્વારા સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે ચૂંટણી સંચાલનમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં. 31 નેતાઓના રાજીનામાં બાદ સુરત શહેર ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ રણનીતિ પાછળનો હેતુ જૂથવાદને ડામવાનો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદપક્ષના આ કડક નિર્ણયને લઈને કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક કાર્યકરો આને પક્ષની ઉત્તમ શિસ્ત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક આ ફેરફારોથી સંગઠનના કામ પર શું અસર પડશે તે બાબતે ઉત્સુક છે. જોકે, ભાજપ હાઈકમાન્ડ મક્કમ છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. હવે 120 ઉમેદવારો સાથે ભાજપ સુરત મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવવા માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવા સજ્જ છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર- કચ્છના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. વર્ષ 2025-26ના આંકડાઓ દર્શાવે છે કે સરકાર દ્વારા જનતાના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. સિવિલ સર્જન મોનાલીબેન માકડીયાના નેતૃત્વમાં હોસ્પિટલનું તંત્ર ઘણું સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 3000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા આવે છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ રૂ. 89.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આઉટસોર્સિંગ સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે તો આ રકમ અંદાજે રૂ. 100 કરોડ સુધી પહોંચે છે. ઉપરાંત, હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે 18.41 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના રોજિંદા સંચાલન માટે જરૂરી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, દર્દીઓ માટેનો ખોરાક, અને ટેકનિકલ મેન્ટેનન્સ (AMC/CMC) પાછળ કુલ 63.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલનાં સંચાલન પાછળ કુલ રૂ. 171 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક થતા હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી રાહત મળી રહી છે. જેને લઈને ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ થયેલું આ કરોડોનું રોકાણ છેવાડાના માનવી માટે આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસે ડ્રગ્સ વેચનારાઓની માહિતી આપવા પોલીસ કમિશનરની અપીલ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે શિક્ષણના ધામ ગણાતી સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી. પોલીસ કમિશનરે ખાસ અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ શાળા કે કોલેજ પાસે નશાનું વેચાણ કરતી જણાય, તો તેની માહિતી વિદ્યાર્થીઓ અથવા શિક્ષકોએ તુરંત પોલીસ વિભાગ સાથે શેર કરવી જોઈએ. યુવા પેઢીને બચાવવા માટે વિવિધ વિભાગોને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા પણ આદેશ અપાયા છે. એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇનની સફળતા અંગે માહિતી આપતા ડી.સી.પી. જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસમાં પોલીસે રૂ. 11.60 લાખની કિંમતનો 20 કિલોગ્રામ ગાંજો અને 40.42 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ગુનાઓમાં સામેલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ શાળાની 100 મીટરની મર્યાદામાં તમાકુનું વેચાણ કરતા પાન ગલ્લાઓ વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ 230 કેસ નોંધી રૂ. 46,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, આરોગ્ય, કસ્ટમ્સ અને ફોરેન્સિક વિભાગના અધિકારી તેમજ વિવિધ યુનિવર્સિટીના નોડલ ઓફિસરોએ હાજર રહી ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાના આયોજન પર ચર્ચા કરી હતી. રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ યોજાશે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ. એસ.એસ.) યોજના અંતર્ગત વર્ષ 2026- 27 માટે પ્રુવન ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવા માટે ઝોન કક્ષાની પી.ટી. ટ્રાયલ્સ (પ્રાથમિક કસોટી)નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સમાવિષ્ટ રમતોમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર અને તા.1 જાન્યુઆરી,2011 થી તા.31 ડિસેમ્બર,2015ની વચ્ચે જન્મ થયો હોય તેવા ભાઈઓ અને બહેનો આ કસોટીમાં ભાગ લઈ શકશે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લાના ખેલાડીઓ માટેની આ ઝોન કક્ષાની ટ્રાયલ્સમાં જુડોની રમત માટે તા.22 એપ્રિલ,2026ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ ખાતે, આર્ચરી રમત માટે તા.23 એપ્રિલ , 2026 ના રોજ ડી.એલ.એસ.એસ.જી. કે.ધોળકિયા સ્કૂલ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ ખાતે તેમજ બાસ્કેટ બોલની રમત માટે તા.24 એપ્રિલના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિમલનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે 7 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. ગત રાત્રે બટકવાડા ગામના રજાત ફળીયામાં બનેલી આ ઘટનામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે શંકાસ્પદ બાઈકનો પીછો કર્યોપ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બટકવાડાથી ફતેપુરા ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એક બાઈક પર 2 શંકાસ્પદ શખ્સો સામાન સાથે પસાર થતા હતા. પોલીસે તેમને અટકાવવા ઈશારો કર્યો હતો, પરંતુ બાઈક ચાલકોએ વાહન થોભવવાને બદલે ભગાડી મૂક્યું હતું. પોલીસે આ શંકાસ્પદ શખ્સોનો પીછો કરતા તેઓ રજાત ફળીયામાં નદી કિનારે બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. ટોળા દ્વારા હુમલો અને હત્યાનો પ્રયાસબાઈક સવાર શખ્સોએ ગામમાં જઈ બૂમાબૂમ કરતા 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ અને કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. પોલીસે પોતાની ઓળખ આપી હોવા છતાં, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ નિર્દયી રીતે પ્રહાર કરી પોલીસકર્મીઓને જમીન પર પાડી દીધા હતા અને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ વધારાની પોલીસ કુમક સ્થળ પર પહોંચી હતી, જેને જોઈ હુમલાખોરો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે નામજોગ આરોપીઓ દિલીપ માનસિંગ રજાત, અલ્પેશ માનસિંગ રજાત, લાલસિંગ હકરા રજાત સહિત 20 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 121(1), 189(2), 190, 191(2), 191(3), 352, 351(3) અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના અસારવા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મતક્ષેત્રમાં આવતા અસારવા વોર્ડમાં ભાજપના બહિષ્કારના પોસ્ટરો ઉતારવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે ખાનગી મિલકતો પરથી બેનરો હટાવી રહી છે. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો સ્થાનિકો દ્વારા વિરોધઅસારવા વિસ્તારની વિવિધ ચાલીઓના રહીશો રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, અને હીરાલાલ કેશવલાલની ચાલી સહિતની 6 જેટલી સોસાયટીઓએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. રહીશોનું કહેવું છે કે ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ભાજપના મળતીયાઓ તેમની મિલકતો હડપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલીઓની બહાર ‘કમળનું ફૂલ અમારી ભૂલ’ અને ભાજપના બહિષ્કારના મોટા બેનરો લગાવવામાં આવ્યા છે, જે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. AMCની કામગીરી પર ઉઠ્યા સવાલોજ્યારે AMCના એસ્ટેટ વિભાગની ટીમ આ બેનરો ઉતારવા પહોંચી, ત્યારે રહીશોએ અધિકારીઓને ઘેરી લીધા હતા. રહીશોએ પ્રશ્ન કર્યો કે રોડ પર રાજકીય પક્ષોએ જે ટેન્ટ અને મંડપ બાંધીને દબાણ કર્યું છે તેને કેમ દૂર કરવામાં આવતું નથી? માત્ર ભાજપ વિરોધી બેનરો જ કેમ નિશાન બનાવાય છે? અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ કામગીરી કરી રહ્યા છે. જોકે, સરકારી મિલકત ન હોવા છતાં ખાનગી મિલકત પરથી બેનર હટાવવાની જીદ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે મેગમોલ ખાતે પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. આ મેનિફેસ્ટોમાં મુખ્યત્વે શહેરમાં આગામી પાંચ વર્ષમાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓને એકજુટ થઈને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં માદક પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં નશાનું ઝેર ફેલાવી યુવાધનને બરબાદીના પંથે ધકેલતા અસામાજિક તત્વો સામે જૂનાગઢ એસ.ઓ.જી. એ લાલ આંખ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર વાહીદ પંજાને PIT NDPS એક્ટ હેઠળ દબોચી લઈ સુરતની લાજપોર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમે ડ્રગ્સ માફિયાઓની કુંડળીઓ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન શહેરના ચીતાખાના ચોક વિસ્તારમાં રહેતા વાહીદ હશનભાઈ પંજાની શંકાસ્પદ ગતિવિધિઓ પોલીસના રડારમાં આવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે 50 વર્ષીય વાહીદ પંજા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ માદક પદાર્થોની હેરફેરમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અગાઉ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદમાં વર્ષ 2021માં ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત વર્ષ 2025માં પણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે ડ્રગ્સની હેરાફેરીના પુરાવા મળ્યા હતા. સતત ગુનાહિત ઈતિહાસ અને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમરૂપ એવી આ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે કાયદાના સૌથી કડક શસ્ત્ર એવા PIT NDPS એક્ટનો ઉપયોગ કર્યો છે. એસ.ઓ.જી. દ્વારા વાહીદ વિરુદ્ધ તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને ઉચ્ચ અધિકારીઓ મારફતે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમ ખાતે મોકલવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા અને સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા આ દરખાસ્તને મંજૂરી અપાતા જ જૂનાગઢ પોલીસે ઓપરેશન પાર પાડી વાહીદની ધરપકડ કરી હતી. આરોપી જે રીતે સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી આર્થિક પાયમાલી સર્જી રહ્યો હતો, તેને જોતા તેને મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) ખાતે ડિટેઈન કરવાનો આદેશ છૂટ્યો હતો. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પી.આઈ. કૃણાલ એમ. પટેલ, પીએસઆઈ ડી.કે. સરવૈયા અને તેમની સમગ્ર ટીમે રાત-દિવસ એક કરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસની આ આકરી કાર્યવાહીથી માદક પદાર્થોના કાળા બજાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢ પોલીસે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાધનને નશાના રવાડે ચડાવનાર કોઈપણ વ્યક્તિ કાયદાના પંજામાંથી છૂટી શકશે નહીં. આ કાર્યવાહીને જૂનાગઢની જનતાએ આવકારી છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો તમને બે વસ્તુ તો મળી જ જશે એક તો ગુજરાતી માણસ અને બીજું છે ચીની માલ. પણ જો એમ કહીએ કે આ ચીની માલ હવે ગાયબ જ થઈ જશે તો? જી હાં! ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હોર્મુઝમાં તો ડબલ ઘેરાબંધી છે જ પણ અમેરિકાનો પ્લાન છે મલક્કા જલડમરું પણ બંધ કરવાનો. જો આ 2-3 કિલોમીટરની સાંકળી પટ્ટી બંધ થાય તો 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ શકે અને ભારતને પણ જોરદાર ફટકો પડી શકે. અમેરિકાએ કેમ આની પ્લાનિંગ કરી તેની તો વાત કરીશું પણ સાથે એ પણ જાણીશું કે ડ્રેગન ધીમેધીમે કેવી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. આજે વાત કરીએ મહાયુદ્ધના ફાઈનલ રિહર્સલની… નમસ્કાર... ઈઝરાયલ-ઈરાન યુદ્ધની જ્વાળા મિડલ ઈસ્ટના રણને જ નથી દઝાવી રહી પણ હોર્મુઝથી હિંદ મહાસાગર સુધી પણ પહોંચી ગઈ છે. વાત જાણે એમ છે કે 13 એપ્રિલે વોશિંગ્ટનમાં અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ પીટ હેગસેથ અને ઈન્ડોનેશિયાના રક્ષામંત્રી સેજફ્રી સેજમસુદ્દીન વચ્ચે MDCP નામની એક ડિલ થઈ. આ ડિલની 3 મોટી વાતો વિશે વાત કરીએ તો હવે... બીટવીન ધ લાઈન અમેરિકા ઈન્ડોનેશિયાને પોતાના જાળામાં એવી રીતે બાંધી રહ્યું છે કે યુદ્ધ ટાણે ઇન્ડોનેશિયાના ટાપુઓનો ઉપયોગ ચીની સપ્લાય લાઇનને બ્લોક કરવા માટે થઈ શકે. આ કેવી રીતે થશે? તો ઈન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે હોર્મુઝ જેવો એક સાંકળો દરિયાઈ રસ્તો આવેલો છે. જેનું નામ છે મલક્કા જલડમરું અથવા ફિલિપ ચેનલ. તેલ, ગેસ, કાર, મોબાઈલ ચિપ્સ જેવી વસ્તુઓ જહાજથી અહીંથી પસાર થાય છે. કયા દેશોનો સામાન પસાર થાય? ભારત , ચીન, થાઇલેન્ડ , ઇન્ડોનેશિયા , મલેશિયા , ફિલિપાઇન્સ , સિંગાપોર , વિયેતનામ , જાપાન , તાઇવાન અને દક્ષિણ કોરિયા હોર્મુઝ બાદ મલક્કા પર અમેરિકાની નજર બગડી ભારત અને ચીન મોટા દેશો છે જેનો માલ પણ આ જળમાર્ગથી જ નીકળે છે. માટે આપણે આ બંને દેશોની પહેલા વાત કરીએ અને સમજીએ કે ભારત અને ચીનને શું નુકસાન થઈ શકે જો અમેરિકા મલક્કા જલડમરું બ્લોક કરી દે. ચીન તેની જરૂરિયાતનું 80 ટકા ક્રુડ ઓઈલ મગાવે છે તે મલક્કા સ્ટ્રેટની સાંકળી પટ્ટીમાંથી જ નીકળે છે. 2008માં અહીંથી 94 હજાર જહાજ નીકળતા હતા તો વિચારો અત્યારે કેટલા જહાજો નીકળતા હશે. બીજી મોટી વાત એ છે કે ચીન જેટલી પણ વસ્તુઓ મગાવે છે કે મોકલાવે છે તેમાંથી 60 ટકા જેટલી વસ્તુઓ અહીંથી જ નીકળે છે. જો અમેરિકા આ સ્ટ્રેટ પર કબજો જમાવી લે તો એક રિપોર્ટ મુજબ 90 દિવસમાં ચીનની મોટા ભાગની ફેક્ટરી બંધ થઈ જાય. 2003માં પહેલીવાર ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ આ સ્ટ્રેટ માટે એક શબ્દ વાપર્યો હતો મલક્કા ડિલેમા. ચીનને બીક છે કે જો બંધ થઈ જાય તો તેમના હાલ પણ આફ્રિકન ગરીબ દેશો જેવા થઈ શકે છે. માટે જ તે અબજો ડોલર ખર્ચી રહ્યું છે જેથી મલક્કા વિસ્તારમાં તેમનો કબજો રહે. અમેરિકાએ આ જ નબળાઈ પર કુહાડો મારીને યુદ્ધ સમયે ડ્રેગનનું ગળું દબાવ્યું છે. કારણ કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓનું કહેવું છે કે યુદ્ધ સમયે ચીન ઈરાનને મદદ કરે છે. મલક્કાને બાયપાસ કરવા ચીનનો છપ્પરફાડ ખર્ચો મલક્કાને બાયપાસ કરવા માટે ડ્રેગન પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી સીપેક પ્રોજેક્ટમાં ખર્ચો કરી રહ્યું છે. ક્યાઉકફ્યૂથી યુનાન સુધી મ્યાનમાર પાઈપલાઈન પાથરી રહ્યું છે. ક્રા કેનાલના ઓપ્શનમાં ડ્રેગન થાઈલેન્ડમાં લેન્ડ બ્રિજ બનાવી રહ્યું છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે ચીનને મલક્કા સ્ટ્રેટનો ઓપ્શન મળી જાય. જેથી જો મલક્કા બંધ થઈ જાય તો પણ ચીનનો વાળ વાંકો ન થાય. પણ અહીં ચીનને પ્રોબ્લમ એ છે કે મોટા જહાજો અને ટેન્કર્સ માટે તો તેમને મલક્કામાંથી જ નીકળવા સિવાય કોઈ છૂટકો નથી. ચીનના ગળાનો ગાળિયો મલક્કા સામાન્ય રીતે આપણને એવું થાય કે કોઈ દરિયાનો રસ્તો બંધ કરવો હોય તો ઘણા બધા જહાજ જોઈએ. હાં સાચી વાત છે! પણ બ્લોકેજ ખાલી મિસાઈલ્સથી કે વોરશીપથી જ નથી થતાં, ડેટા અને ફાઈનાન્સથી પણ થાય છે. એક્સપર્ટ્સની ભાષામાં તેને સ્પ્રેડશીટ બ્લોકેડ કહેવાય છે. જો અમેરિકા સિંગાપોર જેવી ફાઈનાન્શિયલ હબ્સ, મલક્કાથી થતા ચીની જહાજોનો મેરિટાઈમ ઈન્શ્યોરન્સ પણ કેન્સલ કરાવી દે અથવા જહાજોના પ્રિમિયમમાં વધારો કરી દે તો કોઈ શિપિંગ કંપનીની તાકાત નથી કે મલક્કામાંથી નીકળી શકે. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધના કારણે જહાજોના ઈન્શ્યોરન્સમાં મોટો વધારો થયો છે. આ ચીનની અર્થવ્યવસ્થાને લકવો લગાવી શકવા માટે કાફી છે. મલક્કા બંધ તો ભારતના ભૂંડા હાલ જ્યારે અમેરિકા અને ઈન્ડોનેશિયા મલક્કા સ્ટ્રેટમાં ઘેરાબંધીના અખતરા કરી રહ્યું છે ત્યારે ભારત માટે પણ આ ખતરો છે. કારણ કે એ મલક્કા સ્ટ્રેટ જ છે જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. જો મલક્કા બંધ થાય તો પૂર્વીય દેશોમાં આપણો 50 ટકા સપ્લાય જહાજોથી જાય છે તેને પોલિયો થઈ જાય. જહાજોના ભાડાં વધે તો તે ખાલી ચીન માટે જ લાગુ નથી પડતા ભારતને પણ અસર કરે. આપણે પણ જહાજ ત્યાંથી કાઢવા માટે વધુ ટોલ-ઈન્શ્યોરન્સ ચૂકવવો પડે. આવું થાય તો આપણા દેશમાં લાઈટ, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા, કોલસો સહિત જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધી શકે. અને જો એવું થાય તો આપણી જીડીપીને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. ઈવી વાહનોને તો જોરદાર ફટકો પડી શકે. પણ એક ફાયદો પણ છે કારણ કે સિંગાપોરની જગ્યાએ જળમાર્ગ હિંદ મહાસાગરમાં પણ શિફ્ટ થઈ શકે જેના કારણે આપણી ઈન્કમમાં પણ વધારો થઈ શકે. અંદમાન-નિકોબાર સિંગાપોરના દબદબાને ફટકો આપણા અંદમાન અને નિકોબાર ટાપુઓની વાત કરીએ તો તે દરિયામાં આવેલા જમીનના ટૂકડા જ નથી, આપણા વાયુ સેનાના જહાજો રહી શકે તેવા જહાજોને લંગારવાની જગ્યા પણ છે. ગ્રેટ નિકોબાર પર INS બાઝ આપણું સાઉથનું મોટું નેવલ એર સ્ટેશન છે. અહીંથી મલક્કા ખાલી 150-200 કિલોમીટર જ દૂર છે. હાલ આપણે અહીં રનવે લાંબો કરવાનું કામ કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં પૂરું પણ થઈ શકે છે. તે થઈ જાય પછી આપણે આપણા જાસૂસી જહાજો પણ અહીં લંગારી શકીએ છીએ અને એરક્રાફ્ટ રાખી શકાય તેવા લડાકુ જહાજો પણ રાખી શકીએ છીએ. સાવ સાદી ભાષામાં કહીએ તો જો મલક્કામાંથી કોઈ ચીની જહાજની એન્ટ્રી થાય તો અંદમાનમાં બેઠા-બેઠા ભારતને ખબર પડી જશે. આપણું ગ્રેટ નિકોબાર ઈન્ડોનેશિયાના સબાંગથી 177 કિલોમીટર જ દૂર છે. અહીંનું ગલાથિયા બે સિંગાપોર અને કોલંબોના દરિયાઈ ડોમિનન્સને મોટો ફટકો છે. ચીની જાસૂસી જહાજો પકડાઈ જશે ફેબ્રુઆરી 2026માં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબારના 90,000 કરોડના પ્રોજેક્ટને ફાઈનલ પરમિશન આપી છે, જે ચીન માટે સૌથી મોટો ફાળકો છે કારણ કે હવે ત્યાં મિલિટરી બેઝનું કામ યુદ્ધના ધોરણે ચાલશે. બીજી મહત્વની વાત એ છે કે આપણે ક્વાડ દેશોમાં એટલે કે અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા સાથે દોસ્તીમાં છીએ. આ ઓર્ગેનાઈઝેશન હિંદ મહાસાગરમાં ઈન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટરથી રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરી રહ્યું છે. અમેરિકાની સેટેલાઈટ અને ભારતની દરિયાઈ રડારના કોમ્બિનેશનથી આપણે ચોરીછૂપીથી હિંદમહાસાગરમાં ઘૂસતા જહાજોને પણ પકડી શકીએ છીએ. મલક્કા બંધ તો ભારતને જોરદાર ફટકો જીઓપોલિટિકલ તણાવની સીધી અસર ભારતના બજાર અને રસોડા સુધી પહોંચી રહી છે. 2026 માં તેલના ભાવો અને ટ્રમ્પની વેપાર નીતિઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશામાં વાળ્યું છે. હોર્મુઝના ડબલ બ્લોકેજના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર છે. તેલના ભાવમાં 10 ડોલરનો પણ વધારો થાય તો ભારતને 20 બિલિયન ડોલરના વધારાના ખર્ચાનો ફટકો પડી શકે છે. જો આવું થાય તો આપણી ફિસ્કલ ડેફિસિટ 4.3 ટકાના લક્ષ્યથી પણ વધી શકે છે. ટ્રાન્સપોર્ટેશન પણ વધી શકે છે. હાલ રૂપિયો પણ ડોલર સામે 90ને પાર ટ્રેડ કરી રહ્યો છે. જો મલક્કા પર માર તો ચીન થશે ઠાર જો અમેરિકા, ઇન્ડોનેશિયા અને ભારત મળીને મલક્કા સ્ટ્રેટને સ્ટ્રેટેજિક રીતે કન્ટ્રોલ કરે, તો ચીન માટે તે વિનાશક સાબિત થશે છે. વર્લ્ડ ફેક્ટરી ચીન સસ્તા તેલ અને મજૂરી પર કામ કરતું મોડલ છે. જો મલક્કા જલડમરું બ્લોકેજથી સપ્લાય 30 દિવસ પણ બંધ પડે તો ચીનની મેન્યુફેક્ચરિંગ લાઈન ઠપ્પ પડી શકે, જો આવું થાય તો ચીનમાં લાખો લોકો બેરોજગાર થઈ જાય. તેલ વગર ચીનની મિલિટરી પણ નકામી બની જાય. ચીની નેવી ભલે દુનિયાની શક્તિશાળી નેવીમાંથી એક હોય પણ જો તેને હિંદ મહાસાગરમાં ટકવું હોય તો લોજિસ્ટિક્સ અને તેલ-ગેસ જોઈએ જ. તો હવે આપણે સમજી ગયા કે મલક્કા સ્ટ્રેટ કેટલી મહત્વની છે. ઈરાનને મદદ કરવા ચીનનું હોંગકોંગમાં નેટવર્ક હવે આપણે વાત કરીએ એ આક્ષેપની જે અમેરિકા ચીન પર લગાવી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાનને ચીન યુદ્ધ લડવામાં અને તેના પહેલા પણ મદદ કરી રહ્યું છે. અમેરિકા ચીનને ઈરાનનું શેડો એલાયન્સ કહે છે. અમેરિકાનો આક્ષેપ છે કે ચીને ખૂબ જ બુદ્ધિ વાપરીને એક પણ હથિયાર કે ગોળા-બારૂદ આપ્યા વગર ઈરાનની મદદ કરી છે. એપ્રિલ 2026નો યુએસ ટ્રેઝરી રિપોર્ટ કહે છે કે ચીને હોંગકોંગમાં એવી કંપનીનું નેટવર્ક ઉભું કર્યું છે જેનું કામ જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ માટે જરૂરી વસ્તુઓ આપવાનું છે. આ કંપનીઓ પશ્ચિમના દેશોમાંથી ટેક્નોલોજી લે છે અને પછી તેને ગ્રે માર્કેટથી તહેરાન પહોંચાડે છે. ઈરાનને હથિયાર પહોંચાડતી ચીની કંપનીઓ ઈરાન પાસે ચીની મિસાઈલની કાર્બન કોપી અમેરિકાનો આક્ષેપ છે કે ઈરાન હવે ચીનની બેઈદુ સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આનાથી બે મોટા ફાયદા છે. અમેરિકન જીપીએસ પરની ડિપેન્ડેન્સી ઘટાડે છે અને મિસાઈલ ચોક્કસ જગ્યા પર જ અથડાઈ તેની ચોક્કસાઈ વધે છે. ગલ્ફમાં અમેરિકાની નેવી માટે સૌથી મોટો માથાનો દુઃખાવો છે ઈરાનની એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ્સ. જેનો પાયો 1990ના દાયકામાં ચીને ઈરાનમાં નાખ્યો હતો. ઈરાને ચીને C-802 મિસાઈલ્સ આપી હતી, જેનું રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે સુધારા-વધારા કરીને ઈરાને નૂર મિસાઈલ બનાવી છે. નૂર મિસાઈલની પ્રોપલ્શન સિસ્ટમ, સી સ્કીમિંગ કેપિસિટી અને ગાઈડન્સ ચીની મિસાઈલ્સ જેવું જ છે. એક વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે નૂર મિસાઈલને અપગ્રેડ કરીને ઈરાને કાદીર મિસાઈલ વિકસાવી છે. અમેરિકા માટે બીજો ખતરો એ પણ છે કે ઈરાન એકસાથે ડ્રોન્સના જુમખા છોડે છે જેના કારણે અમેરિકાની જહાજની ટેક્નોલોજી જામ કરી શકાય. ડ્રેગનની ઈરાનને મદદ કરવાની માઈન્ડ ગેમ આ બધી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓને એક મોટું ઈન્પુટ મળ્યું કે ચીન હવે સીધા હથિયારો તરીકે શોલ્ડર-ફાયર મિસાઈલ્સ એટલે કે મેનપેડ્સ ઈરાનને મોકલી રહ્યું છે. અને એમાં પણ ચીન ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુઓ નથી પહોંચાડતું બલ્કે ત્રીજા વચેટિયા દેશ મારફતે પહોંચાડે છે. જેથી ઈન્ટરનેશનલ લેવલે ચીન પોતાની ઈરાનને મદદ કરવાની સંડોવણીમાંથી હાથ ખંખેરી શકે. ટ્રમ્પની ધમકી અને ટેરિફ વૉર અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓના દાવાઓ જે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ મિસાઈલ્સ QW-18 અથવા FN-6 મોડલની હોઈ શકે છે. જે નીચે ઉડતા અમેરિકન વિમાનો અને હેલિકોપ્ટર્સ માટે મોતની ઘંટડી સમાન છે. કહેવાય છે કે એપ્રિલના શરૂઆતમાં F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વોર્થોગ નામના અમેરિકન વિમાનને તોડી પાડવામાં પણ આ મિસાઈલ જવાબદાર હોઈ શકે છે. આ બધી જ વાતો પછી ડોનાલ્ડ ટ્રમ્પે 11 એપ્રિલે જાહેરમાં કહ્યું હતું કે, જો ચીન ઈરાનને મિસાઈલો આપવાનું ચાલુ રાખશે, તો ચીન માટે મોટી મુશ્કેલીઓ ઉભી થશે. યુદ્ધ લડવા ગોળા-બારુદ નહીં, ટેક્નોલોજી પણ ટ્રમ્પની આ વાત ખાલી ધમકી જ નથી પણ ચીની માલ પર વધારાના ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો સિગ્નલ પણ છે. ચીનના અને ઈઝરાયલના સંબંધોના કારણે અમેરિકા મલક્કા જલડમરું પર ઘેરો નાખવાના પ્લાન કરી રહ્યું છે. જેનાથી ખાલી ચીનને જ નહીં પણ ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોને પણ મોટો ફટકો પડી શકે તેમ છે. શરૂઆતમાં આપણે વાત કરી હતી ને કે માત્ર ગોળા બારૂદથી જ યુદ્ધ નથી લડાતું, ટેક્નોલોજી અને ચિપ્સથી પણ લડી શકાય છે. મલક્કા સ્ટ્રેટ બ્લોક કરવાનું અમેરિકાનું પ્લાનિંગ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને છેલ્લે… નેપાળની નવી યુવા સરકારે થોડા દિવસ પહેલા પાડોશી અને મજબૂત દેશોના 17 ડિપ્લોમેટ્સને બોલાવી સંબંધ સુધારવા પ્રસ્તાવ મૂક્યો હતો. બિટવીન ધ લાઇન એવું છે કે આ સરકાર ભારત કે ચીનમાંથી કોઈ એકને ટેકો આપવાને બદલે, બધા સાથે સંબંધો રાખવા ઈચ્છે છે. આ બધાની વચ્ચે મોદીએ બાલેન શાહને ભારત આવવા આમંત્રણ આપ્યું. નેપાળી PMએ એ સ્વીકાર્યું પણ ખરું. જો કે હવે હવે એવી વાત છે કે બાલેનને દિલ્હી આવવામાં મોડું થશે. તો શું નેપાળ હવે ફ્રેન્ડ નહીં પણ ફ્રી પ્લેયર બનવા માગે છે? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
ગાંધીનગર જિલ્લાની ઉવારસદ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજનીતિનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થતી હોવાના આક્ષેપો થતા હોય છે, ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસના બંને પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવારોએ એકમત થઈ ચૂંટણીને વ્યસનમુક્ત રાખવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો છે. રાજકીય હરિફાઈ વચ્ચે સામાજિક એકતાઉવારસદ બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ છે. સત્તા મેળવવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ગામના યુવાધનને બચાવવા અને ચૂંટણીના પવિત્ર વાતાવરણને જાળવી રાખવા બંને પક્ષોએ રાજકીય મતભેદો બાજુ પર મૂક્યા છે. કુળદેવીના શરણમાં લીધા શપથબંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના કાર્યકરોની હાજરીમાં એક સામૂહિક બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રદ્ધા અને નૈતિકતાનો સમન્વય જોવા મળ્યો હતો. બંને મહિલા ઉમેદવારોએ પોતાના કુળદેવીના શરણમાં જઈને અતૂટ શ્રદ્ધા સાથે સોગંધ ખાધા છે. ચૂંટણી પ્રચાર કે મતદાન દરમિયાન કોઈપણ તબક્કે દેશી કે વિદેશી દારૂનો ઉપયોગ કે વહેંચણી કરવામાં આવશે નહીં. ગામમાં દારૂની બદીને જળમૂળથી દૂર કરવી અને ચૂંટણીને ખરા અર્થમાં લોકશાહીનું પર્વ બનાવવું. ગ્રામજનોમાં ખુશીનો માહોલઉવારસદના આ બંને ઉમેદવારોની પહેલને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાર-જીત તો સમય નક્કી કરશે, પરંતુ દારૂ જેવી બદીને દૂર રાખવાના આ નિર્ણયથી બંને ઉમેદવારોએ અત્યારથી જ જનતાના દિલ જીતી લીધા છે. ઉમેદવારોનો એકસૂર જીત ગમે તે પક્ષની થાય, પણ અમારો સંકલ્પ ઉવારસદને વ્યસનમુક્ત રાખવાનો છે. આ પહેલ અન્ય બેઠકો માટે પણ એક મિશાલ કાયમ કરી રહી છે, જે દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો રાજનીતિમાં પણ નૈતિક મૂલ્યોનું જતન કરી શકાય છે.
ગાંધીનગરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ (અક્ષય તૃતીયા) નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ આ કાર્યક્રમ યોજાશે.આ ઉજવણી સેક્ટર-૧૬ સ્થિત સચ્ચિદાનંદજી બ્રહ્મ ભવન ખાતે બપોરે ૩:૦૦ વાગ્યાથી શરૂ થશે. ઉજવણીના ભાગરૂપે શહેરમાં એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં ફૂલોથી સુશોભિત રથમાં ભગવાન પરશુરામની ૧૧ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આશરે ૧૪ કિલોમીટરનો રૂટ આવરી લેશે. તેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ હજારો ભૂદેવો, મહિલાઓ અને યુવાનો જોડાશે. યાત્રાના સમાપન બાદ ૨૧૦૦ દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી અને મયુરભાઈ દવે પોતાની કલા રજૂ કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આશરે ૧૫,૦૦૦થી વધુ ભૂદેવ પરિવારો જોડાવાની અપેક્ષા છે. બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો એકરૂપ બની આ ઉજવણીમાં ભાગ લેશે. આયોજકોના મતે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવાનો અને યુવા પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે.
સંકલ્પ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને લોકશાહી અને મતદાનનું મહત્વ સમજાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ અભિયાન વેગવંતું બન્યું છે. આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ વિદ્યાલય ખાતે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો. આ અભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં લોકશાહીના પર્વને સફળતાપૂર્વક ઉજવવા માટેની તૈયારીઓનો એક ભાગ છે. કાર્યક્રમ અંતર્ગત, સંકલ્પ વિદ્યાલયમાં 'મતદાન જાગૃતિ' વિષય પર એક વિશેષ નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 'મતદાનનું મહત્વ' વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના લેખન દ્વારા લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકનો મત કેટલો કિંમતી છે તે સંદેશ આપ્યો હતો. વધુમાં, વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવા માટે 'ચુનાવ પાઠશાલા'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠશાલામાં વિદ્યાર્થીઓને લોકશાહીના પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળામાં એક નમૂનાનું મતદાન મથક તૈયાર કરીને વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે થાય છે અને લોકશાહીમાં તેની ભૂમિકા શું છે તેની પ્રાયોગિક અને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં RTO બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે 300થી વધુ લોકોને નકલી લાયસન્સ બનાવી આપતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણપુરના કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઈ સોમૈયા નામના વ્યક્તિ લોકોને ખોટા વાયદા કરીને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાનું કહેતો હતો. તે ગ્રામ્ય વિસ્તારના અણસમજુ લોકોને પોતાની જાળમાં ફસાવી તેમની પાસેથી આધાર કાર્ડ, ફોટા, સહીના નમૂનાઓ અને રોકડ રકમ લેતો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં જ નકલી લાયસન્સ તૈયાર કરતો હતો. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી, લેમિનેશન કરીને તે ઓરિજનલ જેવા દેખાતા લાયસન્સ ગ્રાહકોને આપતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આશરે 300થી 400 જેટલા લોકોને આ રીતે લર્નિંગ તેમજ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા. એલ.સી.બી.ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કલ્યાણપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 12 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ, ₹5200 રોકડ, એક મોબાઈલ ફોન અને એક મોપેડ સહિત કુલ ₹35,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કૌભાંડ અંગે વધુ તપાસ SOG ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2025-26ના ધોરણ 10 CBSE બોર્ડના પરિણામમાં 100 ટકા સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પરિણામમાં યાજ્ઞિ મહેતા 97.6 ટકા ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમે રહી છે. તેની સાથે જ કલાપ ભગતે 97.4 ટકા અને દર્શ મિસ્ત્રીએ 97.2 ટકાગુણ મેળવ્યા છે. શાળાના આંકડાકીય પરિણામ મુજબ, કુલ 322 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓએ 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ ઉપરાંત, 223 વિદ્યાર્થીઓ 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવવામાં સફળ રહ્યા છે અને કુલ 253 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓએ પણ શાળાના શૈક્ષણિક વાતાવરણ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને આ સફળતાનો શ્રેય આપ્યો છે.
સુરેન્દ્રનગરના કોઠારિયા ધામ, વજા ભગતની જગ્યા ખાતે ચાલી રહેલી જીગ્નેશ દાદાની કથામાં ભાવિની બા ઝાલા ચિત્રકલા ગુરુ પાસે તાલીમ લીધેલી 11 બહેનોની ટીમે અનોખી સેવા આપી છે. આ બહેનોએ કથા સ્થળ પર લગભગ 3000 સ્ક્વેર ફૂટની ભવ્ય રંગોળી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ રંગોળી બનાવવા માટે આશરે 400 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બહેનોએ ઉનાળાની આકરી ગરમી અને તડકા છતાં પણ પોતાની સેવા ચાલુ રાખી હતી. તેમની આ મહેનત અને કલાકારી કથા સ્થળ પર એક અનોખું આકર્ષણ બની રહી હતી. આ રંગોળી કથામાં ઉપસ્થિત ભાવિકો માટે વિશેષ દર્શનીય બની હતી. આ સેવા યજ્ઞના ભાગરૂપે, ચિત્રકાર બહેનોએ જીગ્નેશ દાદાને યાદગીરી રૂપે રાધાકૃષ્ણનું સ્વહસ્તલિખિત પેઇન્ટિંગ પણ ભેટ આપ્યું હતું.
છઠીયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:સ્વ. ભગવતીબેન પટેલના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનના દાતા તરીકે આશાબેન અને આશિષભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા તેમના પરિવારે (પાંચોટ વાળા – હાલ શૈલજા શરણમ્, મહેસાણા) આ સેવાકીય આયોજન કર્યું હતું. ગામ અને શાળા પરિવારે તેમના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સ્વ. ભગવતીબેન પરસોતમભાઈ પટેલના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધારપુર મેડિકલ કોલેજ, પાટણ ખાતે ભારતરત્ન ડૉ. બી.આર. આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અંદાજે 70 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના માનવતાવાદી વિચારોને સાર્થક કરવા અને સમાજ સેવાના ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના તેમના મંત્રને અનુસરીને આ શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કેક કાપી તેમના સામાજિક યોગદાનને યાદ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહેલ, સામાજિક અગ્રણી નરેશભાઈ પરમાર અને કોલેજના તબીબો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારથી જ મેડિકલ કોલેજ સંકુલમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ડૉ. અલ્કેશ સોહેલ સહિત અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, રક્તદાન એ જ સાચી અંજલિ છે, જેના દ્વારા અનેક લોકોના જીવન બચાવી શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ બેંકની ટીમ, સ્થાનિક સામાજિક કાર્યકરો, હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેઓએ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમા બોલ ધીમે નાખવાની કોમેન્ટ કરતા હારી રહેલી ટીમ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી અંધારામાં સામેની ટીમના કેપ્ટન તેના બનેવી અને ભાણેજ પર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાલ ભેરવ ટીમે વિરોધી ટીમને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરીશહેરના ચાંપાનેર દરવાજા વિસ્તાર પાસે રહેતા ચિરાગ ઉર્ફે ધર્મેશભાઈ કિશોરભાઈ કહારે નોંધાવેલી ફરિયાદ મુજબ 15 એપ્રિલ, 2026ના રોજ વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે કાલ ભેરવ અને દ્વારકાધીશ-11 ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ચિરાગ કહાર પોતાની ટીમના કેપ્ટન તરીકે રમવા માટે હાજર હતા. મેચ દરમિયાન કાલ ભેરવ ટીમે વિરોધી ટીમને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરી જીત તરફ આગળ વધી રહી હતી. સામેવાળી ટીમના લોકોએ બોલાચાલી થતા ગ્રાઉન્ડની લાઈટ બંધ કરી માર માર્યોઆ દરમિયાન ચિરાગના બનેવી નરેશ ઉર્ફે લાલી દ્વારા કરાયેલી કોમેન્ટને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન સામેવાળી ટીમના લોકોએ અચાનક ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી દેતાં સમગ્ર વિસ્તારમા અંધારુ છવાઈ ગયુ હતુ. અંધારાનો લાભ લઈ કરસન રબારી, હર્ષદ ભરવાડ તથા રીતુ નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી ચિરાગ કહારના માથામાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. ચિરાગ કહાને છોડાવવા વચ્ચે પડવા આવેલા નરેશ ઉર્ફે લાલી તથા ચિરાગના ભાણિયા હર્ષ નરેશ કહારને ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાગ્રાઉન્ડ પર ભારે હોબાળો મચી જતા આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતુ. જેમા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત સાળા બનેવી અને ભાણિયાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચિરાગ કહાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર કરસન રબારી, હર્ષદ ભરવાડ અને રીતુ શર્માને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ડભોઈની કોલેજમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ સાથે દુબઈ પ્રવાસના બહાને રૂ. 1.32 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'કે.સી. હોલીડેઝ' નામની ટ્રાવેલ એજન્સીના એજન્ટોએ નાણાં પડાવ્યા બાદ પ્રવાસની કોઈ વ્યવસ્થા ન કરી ફોન બંધ કરી દેતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સસ્તું પેકેજ આપી જાળમાં ફસાવ્યામાંજલપુરના ઓમકાર દર્શન ફ્લેટમાં રહેતા 42 વર્ષીય ચિરાગકુમાર હસમુખભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મે-2025માં એક મિત્ર મારફતે તેમનો સંપર્ક 'કે.સી. હોલીડેઝ' ટ્રાવેલ એજન્સી સાથે થયો હતો. એજન્સીના એજન્ટોએ તેમને દુબઈ માટે 5 રાત અને 6 દિવસના પેકેજની આકર્ષક ઓફર આપી હતી. પ્રતિ વ્યક્તિ રૂ. 44 હજાર લેખે પરિવારના ત્રણ સભ્યો માટે કુલ રૂ. 1.32 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું. આંગડિયા મારફતે નાણાં પડાવ્યાશરૂઆતમાં ચિરાગકુમારે આંગડિયા મારફતે રકમ મોકલવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ વિશ્વાસમાં લીધા બાદ તેમણે 3 મે, 2025ના રોજ વડોદરાથી આંગડિયા દ્વારા રૂ. 1.32 લાખ ટ્રાન્સફર કર્યા હતા. એજન્ટોએ ખાતરી આપી હતી કે એક અઠવાડિયામાં વિમાની ટિકિટ અને વિઝા સહિતની તમામ વિગતો મળી જશે. જોકે, નાણાં મળ્યા બાદ એજન્ટોએ દુબઈ મોકલવા માટેની કોઈ જ પ્રક્રિયા હાથ ધરી ન હતી. તપાસમાં અનેક લોકો છેતરાયા હોવાનું ખુલ્યુંપ્રવાસની તારીખ નજીક આવતા જ્યારે ચિરાગકુમારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને એજન્ટોના મોબાઈલ ફોન બંધ આવવા લાગ્યા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ટ્રાવેલ એજન્સીએ અન્ય અનેક લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે. એજન્ટોએ પેકેજની વ્યવસ્થા ન કરી અને નાણાં પણ પરત ન આપતા અંતે ભોગ બનનાર ડાયરેક્ટરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કે.સી. હોલીડેઝના બંને ફરાર એજન્ટોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:વોર્ડ 2ના રહેવાસીઓએ નેતાઓને મત માંગવા આવવા પર પ્રતિબંધ મૂક્યો
બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં સ્થાનિક રહેવાસીઓએ રાજકીય નેતાઓ અને કાર્યકરોને મત માંગવા આવવા પર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવ્યા છે. આ વિરોધ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના સમયે સામે આવ્યો છે. શહેરની ભાગ્યોદય સોસાયટી, આસોપાલવ સોસાયટી અને લક્ષ્મી નગર સોસાયટી જેવા વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરો પર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, 'કોઈપણ પાર્ટીના નેતાઓ કે કાર્યકરોએ વોટ માંગવા આવવું નહીં.' આ દ્વારા સ્થાનિકોએ રાજકીય પક્ષો પ્રત્યેનો પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ કાર્યક્રમો વેગવંતા બન્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ વિદ્યાલય ખાતે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોના ભાગરૂપે, સંકલ્પ વિદ્યાલયમાં 'મતદાન જાગૃતિ' વિષય પર એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 'મતદાનનું મહત્વ' વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ લેખન દ્વારા લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકના મતનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવા માટે 'ચુનાવ પાઠશાલા'નું પણ આયોજન કરાયું હતું. આ પાઠશાલા અંતર્ગત વિદ્યાર્થીઓને લોકશાહીના પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળામાં એક નમૂનાનું મતદાન મથક તૈયાર કરીને વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે થાય છે અને લોકશાહીમાં તેની ભૂમિકા શું છે, તે વિશે પ્રાયોગિક અને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ શિવશક્તિ બે માં રહેતા એક શ્રમજીવી યુવાની માતા શાકમાર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળાએ બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય જે બાબતે યુવાન શખ્સોને થોડા દિવસ પહેલા સમજાવવા ગયેલ જેની દાઝ રાખી ગતરોજ આઠ શખ્સોએ યુવાનના ઘર પર પથ્થરમારો તેમજ બાઈકની તોડફોડ કરતાં મામલો બોરતળાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.જોકે સમગ્ર ઘટનાં ના પગલે પોલીસે 8 શખ્સો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની છેડતી બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં શિવ શક્તિ-2 સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવકે આજ વિસ્તારમાં રહેતા હરેશ ઉર્ફ ભાકો ગોવિંદ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશ પરમાર, હર્ષદ રમેશ ચૌહાણ, વિરલ રમેશ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, અને રામો ઉર્ફે ઓઢી વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની માતા જ્યારે પણ ઘર નજીક આવેલ માર્કેટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હોય ત્યારે શખ્સો ખરાબ નજર નાખી એલફેલ બોલતા હોય આ અંગે ફરિયાદીની માતાએ શખ્સો ને ટપારતા શખ્સોએ ફરિયાદીની માતા સાથે અડપલા કરી બાવડું પકડી પછાડી દીધી હતી અને ફરિયાદી યુવકને પણ ઠપકો આપ્યો હતો. આ વાતની આઠેય શખ્સોએ દાઝ રાખી ધોકા પાઇપ તથા લાકડી જેવા હથિયારો સાથે ફરિયાદી ઓમના ઘરે આવી તેના ઘર બહાર પાર્ક કરેલ સ્કૂટરોની તોડફોડ કરી ઓમ ના ઘર પર પથ્થર મારો તથા સોડા બોટલના ઘા કરી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 8 શખશો સામે ગુનો નોંધવામાં આવ્યોઆ ઘટનાને પગલે હાદાનગરમાં લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવની જાણ બોરતળાવ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જે ફરિયાદના અનુસંધાને બોરતળાવ પોલીસે ભાવનગરના 8 શખસો વિરુદ્ધ BNS એક્ટ 115(2), 352, 351(3), 75, 324(4), 125, 189(2), 191(2), 191(3), 190 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારી જિલ્લા ભાજપ સંગઠને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પક્ષમાં શિસ્ત જાળવવા કડક કાર્યવાહી કરી છે. પક્ષ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા, અપક્ષ અથવા અન્ય રાજકીય પક્ષોમાંથી ઉમેદવારી નોંધાવનાર 10 હોદ્દેદારોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. પક્ષના નીતિ-નિયમો વિરુદ્ધ જઈને કામ કરનારા કાર્યકરો સામે આ કાર્યવાહી કરાઈ છે. લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, ચૂંટણી ટાણે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે મેદાનમાં ઉતરનારા નેતાઓ સામે આ પગલું ભરવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોમાં ગણદેવી તાલુકામાંથી દીપકકુમાર પટેલનો સમાવેશ થાય છે. નવસારી મહાનગર પાલિકા વિસ્તારમાંથી મીરલકુમાર પટેલ, પ્રીતિબેન અમીન, ભૂષણ પાટીલ અને ભરત પરમારને સસ્પેન્ડ કરાયા છે. જલાલપોર તાલુકામાંથી હેમલતાબેન પટેલ, વિકેશ પટેલ, રાજેશ પટેલ, ભારતીબેન પટેલ અને આશિષકુમાર સોમાભાઈ ટંડેલનો સમાવેશ થાય છે. ભાજપના સત્તાવાર સૂત્રો અનુસાર, આ તમામ સભ્યોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ઉમેદવારી નોંધાવી હતી. આથી પક્ષની ગરિમા અને શિસ્ત જાળવવા માટે તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે માત્ર ઉમેદવારી કરનારા જ નહીં, પરંતુ આ બળવાખોર ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા ભાજપના અન્ય કાર્યકર્તાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિના પ્રચારમાં જોડાનાર કાર્યકર સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે.
12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ
Godhra – Vadodara Section of Delhi – Mumbai Expressway: કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા હિસ્સો તૈયાર થઈ ગયો છે. 13 એપ્રિલ 2026થી આ રૂટ પર ટ્રાયલ રન શરૂ કરાયા છે. આ 8 લેન એક્સપ્રેસ-વેના કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું 1,386 કિ.મી.નું અંતર માત્ર 12 કલાકમાં કપાઈ જાય તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ની શાળાઓમાં 'સ્વીપ' (SVEEP) પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત KGBVના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીનીઓએ ગ્રામ્ય કક્ષાએ ભવ્ય રેલીઓ કાઢી હતી, જેમાં 'વોટ કરશે ગુજરાત' અને 'મતદાન આપણો અધિકાર' જેવા સૂત્રોચ્ચારો સાથે લોકશાહીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓએ ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લઈ તેમને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રયાસનો મુખ્ય હેતુ છેવાડાના મતદાર સુધી લોકશાહીનું મહત્વ પહોંચાડવાનો અને મતદાનની ટકાવારી વધારવાનો છે. શાળા કક્ષાએ પણ મતદાનની અનિવાર્યતાનો સંદેશ પ્રસરાવવા માટે રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીનીઓએ લોકશાહીના મહત્વને કંડાર્યું હતું. વિદ્યાર્થીનીઓએ નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને મનોરંજન સાથે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. KGBVના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓના ઉત્સાહપૂર્ણ સહયોગથી આ અભિયાન સમાજમાં જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રભાવી પ્રયાસ સાબિત થઈ રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શુક્રવારે હિંમતનગરની મુલાકાત લેશે. તેમના આગમન પૂર્વે આજે સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે હેલિકોપ્ટર દ્વારા હિંમતનગર પહોંચશે. બપોરે 3 વાગ્યે તેઓ પાલિકા વિસ્તારના મહેતાપુરામાં વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 3:15 કલાકે હિંમતનગરના મારુતિનગર પાસે આવેલા નરનારાયણ તાંબાના સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં સામાજિક અને સહકારી આગેવાનો સાથે બેઠક યોજશે. સાંજે 4 વાગ્યે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા નૈયા પાર્ટી પ્લોટ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધશે. આ ઉપરાંત, હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજ તાલુકાના સોનાસણ ચાર રસ્તે વિજય સંકલ્પ સભા પણ યોજાશે. મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર અને પક્ષ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેમના રૂટ પર સાફ-સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરીને ચુસ્ત બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલની હાકલ અને ઉમેદવારોની ફજેતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારોને હાકલ કરી રહ્યા છે કે આ વખતે એવી જીત અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે.. તો બીજી તરફ પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને લોકો બરાબરના તતડાવી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસીઓમાં રોષ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી નગરપાલિકા સામે આદિવાસીઓનો આક્રોશ. રસ્તા પહોળા કરવાના અભિયાનમાં 41 આદિવાસી વસાહતો પર ડિમોલીશનનું જોખમ તોળાતા રેલી કાઢી વિરોધ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધારાસભ્ય કુમાર કાનાણીએ AAP પર કટાક્ષ કર્યો ધારાસભ્ય કુમાર કાનાણીએ આપ પર કટાક્ષ કર્યો. .કહ્યું સત્તામાં આવવાના નથી એટલે વરાછામાં તાજમહેલ લાવી દેવાના વાયદા પણ કરી શકે છે. સાથે જ પોતાના પત્રો વિશે કહ્યું કે તેમના પત્રોથી ભલભલાના પરસેવા છૂટી જાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોસાયટીના લોકોને મધુ શ્રીવાસ્તવની ધમકી વડોદરાના વોર્ડ નં 15ની કેટલીક સોસાયટીમાં બેનર્સ લાગ્યા હતા કે આ સોસાયટી રામ ભક્તોની છે, કોંગ્રેસે પ્રવેશ કરવો નહીં. જેનો મધુ શ્રીવાસ્તવે ધમકીભર્યો જવાબ આપ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ઉમેદવાર અતુલ મિશ્રા પર દબાણના આક્ષેપ અમદાવાદના ચાંદખેડામાં ભાજપના ઉમેદવાર પર અતુલ મિશ્રા પર ગેરકાયદેસર બાંધકામ અને સોસાયટીની કોમન જગ્યા પચાવી પાડવાના ગંભીર આક્ષેપો થયા છે.કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરીએ તેમની પોલ ખોલી. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું સુરતના સચિન જીઆઈડીસીમાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી.. પોલીસ અને SOGની ટીમે અહીંથી 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થા સાથે 2ની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગથી નુક્શાન સુરતમાં રિંગ રોડ પર આવેલા મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ લાગી..7 સ્ટેશનની 14 ગાડીઓએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાની નથી..જો કે વેપારીઓને મોટું આર્થિક નુક્સાન થયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVPના કાર્યકરોએ પ્રાથમિક સુવિધા મામલે વિરોધ સાબરમતીમાં આવેલી મેડિલીંક નર્સિંગ ઈન્સ્ટિટ્યુટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ એબીવીપીએ વિરોધ કર્યો..સત્તાધીશોએ દરવાજા બંધ કરી દેતા કાર્યકરોએ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો અને મેઈન સ્વીચ બંધ કરી દીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસાજ પાર્લરની આડમાં ચાલતો દેહ વ્યાપાર ગાંધીનગરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ.. કુડાસણના કિંગ ધ લક્ઝરી હમામ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડ્યો . મહિલા સંચાલકને ઝડપી પાડવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 19 અને 20 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બે સહિત 7 જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વલસાડ SOGએ ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપ્યું:હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતા 3 ઝડપાયા
વલસાડ SOGએ હાઈવે પર ચાલતા LPG ગેસ ચોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹53.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ટેન્કર, પીકઅપ વાન અને ગેસનો જથ્થો સામેલ છે. SOG ટીમને મળેલી બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓ મોટી શિપમાંથી કન્ટેનરમાં ભરીને ફીલિંગ સ્ટેશન લઈ જવામાં આવતા ગેસની રસ્તામાં જ ચોરી કરતા હતા. તેઓ જીવના જોખમે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં ગેસ રિફિલ કરતા હતા. આ કૌભાંડમાં ગેસ ટેન્કરના ડ્રાઈવરની સીધી સંડોવણી સામે આવી છે. શિપિંગ વેસલમાંથી ભરેલું ગેસનું ટેન્કર (GJ 06 AX 5451) સરીગામ સ્થિત 'શિવ શક્તિ ગેસ પ્લાન્ટ' ખાતે જઈ રહ્યું હતું. જોકે, પ્લાન્ટ પર પહોંચતા પહેલાં કરમબેલી ગામ પાસે નેશનલ હાઈવે નં. 48 પર એક ધાબા સામે ટેન્કર ઊભું રાખી દેવામાં આવતું હતું. ત્યાં ખાસ પ્રકારના સાધનો અને લાંબી પાઈપલાઈનનો ઉપયોગ કરીને ટેન્કરનું સીલ તોડી, તેમાંથી સીધો ગેસ સ્થાનિક બોટલોમાં ગેરકાયદેસર રીતે રિફિલ કરવામાં આવતો હતો. આ પ્રકારે ગેસની અછતનો લાભ લઈને રૂપિયા કમાવવાની લાલચમાં આ યુવકો આ કૃત્ય આચરતા હતા. SOGના પીએસઆઈ એસ.આર. સુસલાદે અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મુંબઈ તરફ જતા સર્વિસ રોડ પર અમ્મા કંપની પાસે ગેસ ચોરી થઈ રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ટેન્કરમાંથી ગેસ ચોરી કરતા શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જાહેર રોડ પર જ્વલનશીલ ગેસનું આ પ્રકારે ગેરકાયદેસર રિફિલિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે: ભીમ શિવકુમાર યાદવ (ડ્રાઈવર, રહે. ઉત્તર પ્રદેશ), સુરેશ ઉર્ફે ખારા પ્રકાશ ગોદારા (રહે. રાજસ્થાન, હાલ સરીગામ) અને અશોક બાબુરામ ગોદારા (રહે. રાજસ્થાન). આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹25,00,000ની કિંમતનું આઈશર ટેન્કર, ₹24,96,000ની કિંમતનો 17 ટનથી વધુ LPG ગેસ, ₹3,00,000ની કિંમતની મહિન્દ્રા બોલેરો પીકઅપ વાન, મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળી કુલ ₹53.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 306, 287, 54 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી આગળની તપાસ એસ.ઓ.જી. વલસાડ દ્વારા તેજ કરવામાં આવી છે. આ નેટવર્ક ક્યારથી ચાલતું હતું અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની પૂછપરછ ચાલી રહી છે.
ગાંધીનગર ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાના કેસમાં ગાંધીનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મિત્રતા કેળવીને એક નિર્દોષ વ્યક્તિનું અપહરણ કરી તેને જીવતો નર્મદા કેનાલમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર બે નરાધમોને કોર્ટે આજીવન કેદની સજા અને 70,000ના દંડની સજા ફટકારી છે. બંનેએ સાથે મળીને કેતનભાઈને જીવતા જ કેનાલમાં ફેંકી દીધાઆ બનાવની વિગતો મુજબ 31 ઓગસ્ટ, 2022ના રોજ રાત્રિના સમયે આરોપી ધવલકુમાર કનુભાઈ નાઈ (રહે.હરિ પાર્ક સોસાયટી, રબારીવાસ, ચાંદખેડા)અને મુકેશભારથી ભૂપતભારથી ગૌસ્વામીએ (રહે . સના ડાયમંડ કંપની, કડી) પૂર્વયોજિત કાવતરું ઘડીને કેતનભાઈ શાહનું તેમની જ ઇઓન ગાડીમાં ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ કર્યું હતું. બાદમાં આરોપીઓ કેતનભાઈને શેરીશા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં નજીવી બાબતે ઝઘડો કરી બંનેએ સાથે મળીને કેતનભાઈને જીવતા જ કેનાલમાં ફેંકી દીધા હતા. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે 6 સપ્ટેમ્બર, 2022ના રોજ ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કોઈ પણ વાંક વગર એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો જે ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાની કોર્ટમાં આ કેસ ચાલવા પર આવ્યો હતો. સરકાર પક્ષે એડીશનલ પબ્લિક પ્રોસીક્યુટર સુનિલ પંડ્યાએ દલીલો કરી હતી કે, આરોપીઓએ કોઈ પણ વાંક વગર એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. આ કેસમાં નજરે જોનાર સાહેદની જુબાની અને કલમ-164 મુજબનું નિવેદન ગુનો સાબિત કરવામાં અત્યંત મહત્વનું પુરવાર થયું હતું. સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આવા ગંભીર અપરાધમાં આરોપીઓ પ્રત્યે કોઈ રહેમ રાખ્યા વગર સખતમાં સખત સજા કરવામાં આવે.કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી ધવલકુમાર નાઈ અને મુકેશભારથી ગૌસ્વામીને આઈપીસીની કલમ-365, 364, 302 અને 114 હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને કુલ રૂ. 70,000ના દંડ ભોગવવા હુકમ કર્યો છે.
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ 'વિઝન નવસારી' મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં નવસારીને સુરતનું 'ટ્વિન સિટી' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સિટી બસમાં મફત મુસાફરી તેમજ ઇલેક્ટ્રિક વાહનો (EV) પર મ્યુનિસિપલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું વચન અપાયું છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં આ ઢંઢેરો જાહેર કરાયો હતો. તેમાં નવસારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની સાથે નાગરિકોને આર્થિક રાહતો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપના મેનિફેસ્ટોમાં સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે નવસારી અને સુરત વચ્ચે 'ટ્વિન સિટી' કોરિડોર વિકસાવવાનું વચન અપાયું છે. આ કોરિડોરથી બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપાર-રોજગારના નવા અવસરો ઊભા થશે. પર્યાવરણ સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો (EV) પરનો મ્યુનિસિપલ વાહન વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવાની પણ જાહેરાત કરાઈ છે. શહેરની પરિવહન વ્યવસ્થાને સુલભ બનાવવા માટે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસ સેવા મફત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે, જે નાગરિકો રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવશે તેમને મ્યુનિસિપલ ટેક્સમાં વિશેષ રાહત અને આર્થિક સહાય અપાશે. ભાજપે દાવો કર્યો છે કે, છેલ્લા સમયગાળામાં નવસારી-વિજલપોરમાં રૂ. 170 કરોડથી વધુના વિકાસકાર્યો પૂર્ણ થયા છે. આ કાર્યોમાં મુખ્ય માર્ગો માટે રૂ. 78 કરોડ અને વિજલપોર રિંગ રોડ માટે રૂ. 3.89 કરોડનો ખર્ચ સામેલ છે. શુદ્ધ પાણી માટે દૂધિયા તળાવ અને વિજલપોરમાં રૂ. 38.83 કરોડના ખર્ચે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત, 5 નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને આધુનિક મોડેલ ફાયર સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા 4 ગામોના વિકાસ માટે પણ વિશેષ આયોજન કરાયું છે. જેમાં પાણી પુરવઠા માટે રૂ. 60 કરોડ અને ગટર લાઇન માટે રૂ. 54 કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પ્રિસિંકટ ડેવલપમેન્ટ માટે રૂ. 15 કરોડ, પૂર્ણા નદીના પૂરથી રક્ષણ માટે રૂ. 50 કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ અને સમગ્ર શહેરમાં CCTV સર્વેલન્સ, આધુનિક શાકભાજી માર્કેટ તથા ધૂળમુક્ત 'આઇકોનિક રોડ' બનાવવાનું આયોજન પણ મેનિફેસ્ટોમાં સામેલ છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. તેમના પક્ષપલટાથી નારાજ કોંગ્રેસ કાર્યકરોએ ગોધરા સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ચેતનસિંહ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પરમારના પોસ્ટરોનું દહન કરી 'હાય-હાય'ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ તંગ બન્યું હતું. ચેતનસિંહ પરમાર લાંબા સમયથી પંચમહાલ જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં સક્રિય હતા અને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા હતા. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસ છાવણીમાં આઘાત લાગ્યો છે. કોંગ્રેસના પાયાના કાર્યકરોએ આ પક્ષપલટાને 'ગદ્દારી' ગણાવી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પક્ષે જેમને માન-સન્માન અને પદ આપ્યું, તેમણે જ પક્ષ સાથે છેતરપિંડી કરી છે.
ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યોને અમદાવાદ અને સુરત ખાતે યોજાયેલા શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં “Redefining Education Skilling for a Viksit Gujarat, Viksit Bharat” વિષયક શિક્ષણ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રુંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશી શિક્ષણ અને ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોના માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રની નવી દિશાઓ અંગે મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલને ભવિષ્યમુખી શૈક્ષણિક વિચાર માટે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુરત ખાતે આયોજિત “લીડરશિપ રીટ્રીટ” કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રુંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા. શૈલજા સિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યાએ “ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ” વિષયક સત્રમાં ભાગ લીધો હતો. ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓને નવી વિચારસરણી અપનાવવા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ પૂરું પાડવા માટે પ્રેરણા મળે છે. આ સમગ્ર કાર્યક્રમોમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટની શૈક્ષણિક ગુણવત્તા, નેતૃત્વ વિકાસ અને સતત વ્યાવસાયિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઉમેદવારી ફોર્મની ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેનાથી ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે 136 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. હવે 98 ઉમેદવારો મેદાનમાં છે. આમાં ભારતીય જનતા પાર્ટીના 32, કોંગ્રેસના 31 અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. જિલ્લા પંચાયત સ્તરે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, જેમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર પણ રસાકસી જામી છે. મહાનગરપાલિકામાં કુલ 194 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી બાદ 155 ફોર્મ માન્ય રહ્યા હતા. આખરે 136 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો જેવી કે સાયલા, લીંબડી, ચોટીલા, લખતર, વઢવાણ, ચુડા, મુળી, દસાડા, ધ્રાંગધ્રા અને થાનગઢની કુલ 180 બેઠકો પર પણ લોકશાહીનો જંગ તેજ બન્યો છે. આ બેઠકો માટે કુલ 512 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 7 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતા આ વખતે ઊંચું મતદાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારના 'શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ભોગ બનનારના પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધી છે. ઉષાબેન મહેન્દ્રભાઇ નાકરાણી (રહે.ફલેટ નં.એફ/૧૧૦૪, શાલીગ્રામ સ્ટેટસ, ઉત્રાણ) સામે BNS 123 (ગુનાહિત ઈરાદાથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધાયો
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન શરૂ કરાયું છે. બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી દશરથસિહ ઠાકોર, તેમજ કિસાન મોરચા ના મહામંત્રી મંગળસિંહ ટાક તેમજ આગેવાનોએ જિલ્લાના સમઢીયાળા તેમજ સેથળી ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ, આગામી ચૂંટણીમાં વધુમાં વધુ ખેડૂતો ભાજપને મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધને લાંછન લગાડતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે પાડોશમાં રહેતી તેની જ બહેનપણીએ કપડાં બદલવાના બહાને ઘરમાં પ્રવેશ કરી, કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર મહિલાએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડિમાર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા શિતલબેન સંજયભાઈ લિંબાસિયા ગત તા.12.04.2026ના રોજ બપોરના પોતાના ઘરે હતા ત્યારે તેમના જ પાડોશમાં રહેતી તેમની બહેનપણી મુસ્કાન રિયાજભાઈ સરવદી આવી હતી. મુસ્કાને આવી ફરિયાદીને જણાવ્યું હતું કે તેણે એક પ્રસંગમાં જવાનું હોવાથી તેને સારી સાડી જોઈએ છે. શિતલબેન પોતાની બહેનપણી પર વિશ્વાસ રાખી તેને પોતાની સાડીઓ બતાવી હતી. દરમિયાન મુસ્કાને ચાલાકી વાપરી સિતલબેનને જણાવ્યું કે, મારે બ્લાઉઝનું ફિટિંગ ચેક કરવું છે અને કપડાં બદલવા છે, તમે રૂમની બહાર જાઓ મને શરમ આવે છે. જેથી શિતલબેન પોતાની મિત્રની વાત માની રૂમની બહાર નીકળ્યા હતા. આ પછી તકનો લાભ ઉઠાવી મુસ્કાને અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કબાટમાં રાખેલી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. થોડીવાર બાદ મુસ્કાન બહાર નીકળી સાડી લઈને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે શિતલબેન કબાટ ચેક કર્યો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા કારણ કે તિજોરીમાંથી આશરે અડધા તોલાની સોનાની પાટલી, સોનાની કડીઓ, સોનાના દાણા, સોનાનું ”ઓમ” લખેલ પેન્ડન્ટ, ચાંદીની ઝાંઝરી અને રોકડ મળી કુલ રૂ.79,000ની મત્તા ગાયબ હતી. આ દિવસે તેમના પતિ બહારગામ હોવાથી તાત્કાલિક ફરિયાદ કરી ન હતી. જો કે ગઈકાલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી મુસ્કાનબેનની અટકાયત કરી તેની પાસેથી ચોરાઉ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગઢડા તાલુકાની માંડવધાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય ઉમેદવાર વાલજી જાદવના સમર્થનમાં માંડવધાર ગામે ખોલવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી ઠાકોર, ભોળાભાઈ રબારી, વનરાજસિંહ ડાભી, અરવિંદભાઈ વનાળીયા સહિતના અગ્રણીઓ અને ગામના મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો ભોળાભાઈ રબારી અને સુરેશભાઈ ગોધાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોમાં લોકો પરેશાન થયા છે, જ્યારે ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે, જેના કારણે લોકો ભાજપને મત આપે છે.
આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ટિકિટ ન મળવાથી નારાજ ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી જનતા માટે કામ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 19માં ભાઈઓ બહેનોને એક દુઃખની વાત કહેવા માંગુ છું કે, હું આજે દુઃખના તોફાનમાં વહી રહ્યો છું. હું કારગિલનો યોધ્ધા રહ્યો છું. ત્યાં પણ મને એટલી તકલીફ પડી નથી. 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું. બધા દુઃખ સહન કર્યા હતા. પણ કોંગ્રેસે ટિકિટ ન આપી એનું મને ખૂબ દુઃખ થયું છે, હું છાતી ફાડીને બતાવી શકું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 2 વાગ્યે મારી ટિકિટ કાપવામાં આવી. કોંગ્રેસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને દગો આપ્યો છે. દિલ્હીના નેતાઓએ ગદ્દારી કરી છે. મારી સાથે અન્યાય કર્યો છે. બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે. હું રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશ ભક્ત માનું છું. તેઓએ વધુમાં કહ્યું કે, પૈસાના લોભે મારી ટિકિટ કાપી છે. મેં હંમેશા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે. વોર્ડ નંબર 19ના લોકો હું તમારી સમસ્યાઓ દૂર કરવા માટે તૈયાર છું. તમે મને બહુમતથી જીતાડો. ગુજરાત અને દેશમાં એક મેસેજ જાય, કે એક દેશભક્ત નેતા બની શકે છે. બધા ઉમેદવારો બેઈમાન છે, અશિક્ષિત છે. પૈસાવાળા છે. એ તમારી સેવા નહીં કરી શકે. હું VMCને જીવવા નહીં દઉં. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જલોત્રા જિલ્લા પંચાયતની એક બેઠક અને પાંચ તાલુકા પંચાયતની બેઠકો માટે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયત બેઠકને હોટ ફેવરિટ માનવામાં આવે છે અને તેના પર સૌની નજર છે. આ બેઠકના ભાજપના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે સભાને સંબોધિત કરી હતી. પૂર્વ દાંતા ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, તેથી તેઓ બહારથી આયાતી ઉમેદવારો લાવીને ચૂંટણી લડાવી રહ્યા છે. તેમને તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવાર મળતા નથી. વસંત ભટોળે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને બહારથી ઉમેદવારો લાવવા પડે છે, પરંતુ હવે પ્રજા તેમને જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, ગત ટર્મમાં જલોત્રા બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ નર્મદાના નીર આવવાને કારણે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વસંત ભટોળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જલોત્રા જિલ્લા પંચાયત સહિત પાંચ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય તણાવ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ બિનહરીફ જીતની લ્હાયમાં રાજ્યમાં લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે. ફોર્મ પરત ખેંચાવવા ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા- ઈટાલિયાઈટાલીયાએ જણાવ્યું કે, લગભગ 700 જેટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે “ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા”. તેમણે દાવો કર્યો કે વિરોધ પક્ષના ઉમેદવારોને ધમકી, અપહરણ અને ખોટી FIR દ્વારા દબાણમાં લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ગુંડાગર્દી અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા ઈટાલીયાએ આરોપ મૂક્યો કે તેમના નેતૃત્વ હેઠળ પોલીસનો “ભયંકર રીતે દુરુપયોગ” થયો છે. બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસ નુકસાન નથી, જનતાનો હક છીનવાયો- ઈટાલિયાAAP નેતાએ જણાવ્યું કે, “બિનહરીફ થવાથી AAP કે કોંગ્રેસને નુકસાન નથી, પરંતુ જનતાનો હક છીનવાઈ રહ્યો છે.” તેમણે ચેતવણી આપી કે જો વિપક્ષ નબળો પડશે તો જનતાનો અવાજ દબાઈ જશે. ઈટાલીયાએ ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓ આ પ્રકારની રાજનીતિ સામે અવાજ ઉઠાવે. “આજે વિરોધીઓના અપહરણ થાય છે, કાલે ભાજપના જ લોકોનો વારો આવશે,” એમ તેમણે ઉમેર્યું. અંતમાં તેમણે કહ્યું કે 200 વર્ષના સંઘર્ષ પછી મળેલા મતાધિકારને આ રીતે ખતમ કરવાનો પ્રયાસ લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, પંચમહાલ જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડ્યો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પક્ષપલટો ચેતનસિંહ પરમાર માત્ર એકલા જ ભાજપમાં જોડાયા નથી, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં જિલ્લાના પાયાના કાર્યકરો અને સમર્થકોએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ પક્ષપલટાને કારણે પંચમહાલમાં કોંગ્રેસના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને ચૂંટણી ટાણે જ પ્રમુખનું પક્ષ છોડવું એ ભાજપ માટે રસ્તો મોકળો કરનારું સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હતી અટકળો નોંધનીય છે કે, પાછલા એક અઠવાડિયાથી ચેતનસિંહ પરમાર પક્ષની પ્રવૃત્તિઓથી અંતર જાળવી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમણે પક્ષના હોદ્દેદારો કે પૂર્વ પ્રમુખોના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતાં રાજકીય વર્તુળોમાં તેઓ પક્ષપલટો કરશે તેવી ચર્ચાઓ તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. ચૂંટણી ટાણે કોંગ્રેસની કફોડી સ્થિતિ એક તરફ જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાસે ઉમેદવારોની પણ ભારે અછત જોવા મળી રહી છે. વર્તમાન આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો: ચૂંટણીના જંગ વચ્ચે સંગઠનના વડાનું પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે. ઉમેદવારોની ઘટ અને આંતરિક જૂથવાદ વચ્ચે ઝઝૂમતી કોંગ્રેસ માટે પંચમહાલનો ગઢ બચાવવો હવે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. બીજી તરફ, ભાજપે આ તકનો લાભ ઉઠાવી જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
રાજકોટ શહેરમાં પ્રથમ લગ્ન અંગેની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવવી યુવકને ભારે પડી છે. બીજા લગ્નમાં મનમેળ ન થતાં આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા જોકે કાયદાકીય લડાઈ વચ્ચે પત્નીના હાથમાં પતિએ કરેલા અગાઉના લગ્નના ડોક્યુમેન્ટ મળી આવતા ફરીયાદ નોંધાવી હતી આ કેસમાં કોર્ટે આરોપી પતિ આશિષ મગનલાલ કંટારીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ શહેરના નાનામવા રોડ પર વરદાન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કંટારીયાએ વર્ષ 2006માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે આશિષે પોતે અપરિણિત હોવાનું જણાવી કોર્ટના કાગળોમાં પણ ખોટી વિગતો આપી હતી. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, લગ્નના સાત વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે આશિષે અગાઉ લગ્ન કરેલા છે. જ્યારે પત્નીએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે આશિષે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અંતે પત્ની તથા પુત્રને તરછોડી દીધા હતા. ત્યારબાદ પરિણીતાએ આશિષના પ્રથમ લગ્નના પ્રમાણપત્ર અને ડાયવોર્સ પેપર મળી આવતા સત્ય સામે આવ્યું હતું. પતિએ કોર્ટ અને પત્ની બંનેને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી. જે. વસવેલીયાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ રેકર્ડ પર પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાનું સાબિત થયું છે. આરોપી સામે અગાઉ પણ કલમ 406 હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે જેમાં તેને સજા થયેલી છે. બંને પક્ષોની રજૂઆતો અને સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે આરોપી આશિષ કંટારીયાને ૩ વર્ષની કેદ અને રૂ.20,000 દંડનો આદેશ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવી પડશે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે મધ્યાહન ભોજન આશીર્વાદ સમાન હોય છે, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આજે આ વ્યવસ્થા પડી ભાંગી હતી. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયસર ચોખા ઉપરાંત તેલનો જથ્થો પણ ફાળવવામાં ન આવતા 365 આંગણવાડીના 18000 બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયસર રિલીઝ ઓર્ડર નહીં આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ આંગણવાડીના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે સરકારી અનાજ ગોડાઉનમાં પડ્યું હોવા છતાં બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના આપવી પડી હતી. જોકે આજરોજ જથ્થો ફાળવી દેવામાં આવ્યો હોવાથી એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા મનપાનાં અધિકારીએ વ્યક્ત કરી છે. રાજકોટ મહાપાલિકાના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 122, ઈસ્ટ ઝોનમાં 152 અને વેસ્ટ ઝોનમાં 182 મળી કુલ 365 આંગણવાડીઓ કાર્યરત છે. આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો ઉપરાંત સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ માટે ખાસ રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા નિગમ દ્વારા નિયમિતપણે તેલ અને ચોખાનો જથ્થો ફાળવવામાં આવે છે. આ જથ્થો સેન્ટ્રલાઈઝ્ડ ગોડાઉનમાં પહોંચ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેના રિલીઝ ઓર્ડર આપવામાં આવે છે, જે બાદ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત 8 એપ્રિલના રોજ જ તેલ અને ચોખાનો જરૂરી જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. છતાય રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકના પુરવઠા વિભાગે આ જથ્થો રિલીઝ કરવા માટે જરૂરી પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓએ રિલીઝ ઓર્ડર નહીં આપતા ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો રસોડા સુધી પહોંચાડવામાં આવ્યો નહોતો. નિયમ મુજબ જથ્થો આવ્યા બાદ તેનું લેબોરેટરી ટેસ્ટિંગ અનિવાર્ય છે, પરંતુ ઓર્ડરના અભાવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ અટકી પડી હતી. પરિણામે, સતત બે દિવસ સુધી આંગણવાડીના રસોડામાં તેલ અને ચોખાનો પુરવઠો ખૂટી પડ્યો હતો. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની ત્યારે આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં તાત્કાલિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આંગણવાડીના સંચાલકોએ વાલીઓને ફોન કરીને કે સંદેશા મોકલીને બાળકોને ઘરેથી નાસ્તો લાવવા માટે સૂચના આપવી પડી હતી. જે બાળકો મધ્યાહન ભોજન પર નિર્ભર છે, તેવા ગરીબ અને મધ્યમ વર્ગના 18000 ભૂલકાઓએ આ સરકારી અંધેરવહીવટના કારણે ભૂખ વેઠવી પડી હતી. આ ઘટનાએ પુરવઠા વિભાગની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આઈસીડીએસ વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેલ અને ચોખાનો પુરવઠા વિભાગ તરફથી ન મળ્યો હોવાને કારણે બાળકોને ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે આજે બપોર બાદ તાત્કાલિક ધોરણે તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેને લઈને એકાદ દિવસમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આંગણવાડીનાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બાળકોને નાસ્તો આપવામાં નહીં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. ભવિષ્યમાં આ પ્રકારના કોઈ બનાવ ન બને તે માટે પુરવઠા વિભાગ સાથે અગાઉથી સંકલન કરી લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં થયેલો આ વિક્ષેપ તંત્ર માટે લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સેન્ટ્રલાઈઝ્ડ જથ્થા વિતરણની પ્રક્રિયાને વધુ વેગવંતી, પારદર્શક બનાવવી જરૂરી છે. નાના બાળકોના પોષણ સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વહીવટી તંત્રની શિથિલતા કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. હાલ પૂરતો જથ્થો મળી જવાથી આગામી દિવસોમાં ભોજન વ્યવસ્થા રાબેતા મુજબ થશે, પરંતુ આજની હાડમારીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બોડકા ગામની સીમમાં બુધવારે મોડીરાત્રે કિશોરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં કિશોરની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ હત્યા પાછળ કોણ છે અને કારણ શું છેવટે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવીબોડકા ગામમાં રહેતો કિશોર બુધવારે રાત્રે ગામની સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કિશોરના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન હતા, જે તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આખું ગામ સીમમાં ઉમટી પડ્યું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યારાને રાઉન્ડ અપ કર્યોઘટનાની ગંભીરતાને જોતા કરજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાને ખસેડ્યો છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લીધો છે, જેમાં ડોગ સ્ક્વોડ FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કરજણ DYSPને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે DYSP પી.એન. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે. હત્યા કરનાર આરોપીને અમે દબોચ્યો છે, આ અંગેની વિગતો અમે આપીશું હાલના કાર્યવાહી ચાલી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ અને વિવાદ વચ્ચે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા શહેરની કાયાપલટ કરવાના ઈરાદે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ વિપક્ષે આ આંકડાઓને માત્ર કાગળ પરના વાયદા ગણાવી જનતાની હાલાકી મુદ્દે તંત્ર પર માછલાં ધોયા છે. જૂનાગઢ શહેરના વિકાસ માટે કુલ ₹30.21 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, જેમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે તંત્ર કટિબદ્ધ છે. આ વખતની બેઠકમાં મુખ્ય 11 મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો નિર્ણય વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ અંગે લેવાયો છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં ચોમાસામાં જળબંબોળની સ્થિતિ સર્જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ખાસ ચેમ્બરો બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે એજન્સીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. શાસકોનો દાવો છે કે આનાથી રસ્તા પર ભરાતા પાણીની સમસ્યા દૂર થશે અને ભૂગર્ભ જળના સ્તરમાં પણ વધારો થશે. પર્યાવરણની જાળવણી અને કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાએ 'વેસ્ટ ટુ ચારકોલ' પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે ચાલશે, જેમાં મનપાએ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં. ખાનગી એજન્સી શહેરના ડમ્પિંગ સાઈટ પરના કચરામાંથી કોલસો બનાવશે, જેનાથી કચરાના પહાડો ઓછા થશે. આ ઉપરાંત મધુરમ વિસ્તારમાં તૈયાર થયેલા હોકર્સ ઝોન માટે લાંબા સમયથી લટકતા નિયમોને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના લારી-ગલ્લા ધારકોને વ્યવસ્થિત જગ્યા મળી શકશે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસ માટે નરસિંહ સરોવર ખાતે 'વાંચન વલૂણું' નામની ઓપન લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. વહીવટી મોરચે બેદરકારી દાખવનાર એજન્સીઓ સામે કડક વલણ અપનાવી બે કંપનીઓને કાળી યાદીમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના હિતમાં પણ કેટલાક નિર્ણયો લેવાયા છે, જેમાં એન્જિનિયરોના પગાર વધારા અને કેટલાક કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શાસક પક્ષના મતે આ તમામ નિર્ણયો જૂનાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ શહેર બનાવવામાં મદદરૂપ થશે. ગટર અને રોડ-રસ્તાના પ્રશ્નો માટે પણ આ બજેટમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી હોવાનું ચેરમેને ઉમેર્યું હતું. જોકે, શાસક પક્ષના આ તમામ દાવાઓને વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વર્ષ 2021 થી 15મા નાણાપંચની અંદાજે ₹30 કરોડ અને 25 લાખ જેટલી રકમ સરકારી તિજોરીમાં વણવપરાયેલી પડી છે. જ્યારે એક તરફ જૂનાગઢની જનતા તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાથી ગ્રામ્ય વિસ્તાર જેવું જીવન જીવવા મજબૂર છે, ત્યારે શાસકો ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે દર વખતે સ્ટેન્ડિંગમાં કરોડોના કામો પાસ થાય છે, પરંતુ જમીની હકીકત બદલાતી નથી અને લોકોની હાલાકી ઠેરની ઠેર છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગના મુદ્દે વિપક્ષે ટેકનિકલ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે અગાશીનું શુદ્ધ પાણી જમીનમાં ઉતારવાને બદલે રસ્તા પરનું ગંદુ પાણી જમીનમાં ઉતારવાની યોજના માત્ર ભ્રષ્ટાચાર કરવાની પેરવી છે. રસ્તા પરના પાણીમાં કચરો અને ઓઈલ જેવી અશુદ્ધિઓ હોય છે, જે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે. વિપક્ષી નેતાના મતે આ પ્રોજેક્ટની સાચી સમજ ન તો અધિકારીઓને છે કે ન તો સ્ટેન્ડિંગ ચેરમેનને. આ માત્ર બજેટ વાપરી નાખવા માટેનું આયોજન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. તેવી જ રીતે કચરામાંથી કોલસો બનાવવાના પ્લાન્ટ અંગે પણ તેમણે ભૂતકાળનો દાખલો આપતા કહ્યું કે અગાઉ ઈવનગર ખાતે ₹5 કરોડના ખર્ચે બનેલો ગેસ પ્લાન્ટ આજે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. શાસકો નવા નવા પ્રોજેક્ટ્સ લાવીને માત્ર એજન્સીઓને ફાયદો કરાવતા હોવાનો સુર તેમણે વ્યક્ત કર્યો હતો. મધુરમ હોકર્સ ઝોન બનીને તૈયાર હોવા છતાં તેના નિયમો બનાવવામાં જે વિલંબ થયો તે પણ તંત્રની અણઆવડત હોવાનું વિપક્ષ માને છે. નાના ધંધાર્થીઓ લાંબા સમયથી સુવિધાની રાહ જોઈ રહ્યા છે અને શાસકો માત્ર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે. શહેરની ગટર વ્યવસ્થા અંગે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે ગટર લાઈનો નાખવામાં આવી હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના હોદ્દેદારો માત્ર વાયદાઓ કરવામાં માહિર છે, પરંતુ કામની ગુણવત્તામાં કોઈ સુધારો જોવા મળતો નથી. મનપા બન્યાને વર્ષો વીત્યા હોવા છતાં પાયાની જરૂરિયાતો માટે પણ લોકોએ વલખાં મારવા પડે છે. કર્મચારીઓના પ્રશ્નો અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની બાબતને પણ વિપક્ષે શાસકોની વહીવટી નિષ્ફળતા ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એજન્સીઓ કામ નથી કરતી તો અત્યાર સુધી શા માટે રાહ જોવામાં આવી? આમ, એક તરફ શાસક પક્ષ ₹30 કરોડથી વધુના ખર્ચે વિકાસની ગુલબાંગો પોકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષે ગ્રાન્ટના બિનઉપયોગ અને ભ્રષ્ટાચારના મુદ્દે જનતાની અદાલતમાં શાસકોને ઊભા રાખી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા મંજૂર થયેલા કામો ખરેખર સમયસર પૂર્ણ થાય છે કે પછી દર વખતની જેમ માત્ર કાગળ પરના આંકડા અને જનતા સાથેની છેતરપિંડી બનીને રહી જાય છે. જૂનાગઢની જનતા હવે વાયદા નહીં પણ નક્કર કામગીરી ઈચ્છી રહી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી. પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સત્તાનો દુરુપયોગ કરીને ડિમોલિશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. ગેરકાયદે બાંધકામ મુદ્દે મતદાતાના તીખા સવાલોવોર્ડ નંબર 7માં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી, ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને રઘુ કુંત સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો. મતદાતાએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે. ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. મારી પાસે પ્રૂફ છે, હું જાહેરમાં કહેવા તૈયાર છુંમતદાતાએ રઘુ કુંતને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પરંતુ તમારું નામ સાંભળ્યું છે. નંદુ દોશી વાડીમાં જે 10 મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પ્રૂફ (પુરાવા) છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો. ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા નેતાઓએ ચાલતી પકડવી પડીમતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલિશનના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે પ્રચારમાં સાથે રહેલા ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બિચકવાની શક્યતા હતી. મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જોતા, પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં જ રઘુ કુંત સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વિલા મોઢે વિદાય લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કતારગામ-વેડમાં ભાજપ સામે સ્થાનિકોની નારાજગીસુરતનો કતારગામ અને વેડ રોડ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ગેરકાયદે બાંધકામ, પ્રોપર્ટી ટેક્સ અને ડિમોલિશન જેવા સ્થાનિક મુદ્દાઓ ઉમેદવારો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. વોર્ડ નંબર 7માં જોવા મળેલો આ વિરોધ એ વાતનો સંકેત છે કે મતદારો હવે માત્ર પક્ષના નામ પર નહીં, પરંતુ સ્થાનિક સ્તરે થયેલા વહીવટ અને નેતાઓની કામગીરી પર નજર રાખી રહ્યા છે. રઘુ કુંત સામેનો આ આક્રોશ આગામી દિવસોમાં અન્ય ઉમેદવારો માટે પણ ચેતવણી સમાન છે.
સુરત-બારડોલી રોડ પર અધૂરું કામ:સરદાર માર્કેટ પાસે સુરક્ષા વિના વાહનચાલકોને જોખમ
સુરતના વ્યસ્ત સુરત-બારડોલી રોડ પર સરદાર માર્કેટ પાસે ફુટ ઓવર બ્રિજ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલું કામ અધૂરું છોડી દેવાયું છે. આ કામ શરૂ કર્યા બાદ સ્થળ પર કોઈ પૂર્વ સૂચના, સાવધાનીના બોર્ડ કે સુરક્ષા બેરિકેડ લગાવવામાં આવ્યા નથી. રોડની વચ્ચે અધૂરું છોડી દેવાયેલું આ કામ રાત્રિના સમયે અંધારામાં વાહનચાલકોને સ્પષ્ટ દેખાતું નથી. આના કારણે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ રોડ ચોવીસ કલાક ભારે ટ્રાફિકથી ધમધમતો રહે છે, જ્યાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે. કોઈપણ 'ડેન્જર' સાઈન કે રેડિયમ સ્ટીકર વગર કામ અધૂરું છોડી દેનાર એજન્સી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લા ભાજપમાં શિસ્તભંગના મામલે પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ ભાજપના 6 સક્રિય સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીમાં પક્ષ સામે ઉમેદવારી કરવાનું પડ્યું ભારેમળતી માહિતી મુજબ આ સભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અથવા પક્ષની નીતિ-રીતિ વિરુદ્ધ વર્તન કર્યું હતું. શિસ્ત સમિતિના અહેવાલ બાદ જિલ્લા ભાજપે કડક વલણ અપનાવી તમામ 6 સભ્યોનું સભ્યપદ રદ કર્યું છે. આ સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવીપક્ષે જે સભ્યો સામે લાલ આંખ કરી છે તેમાં વડનગર તાલુકાના સુંઢિયા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ એલ. પટેલ મુખ્ય છે. તેમની સાથે જ વડનગરના સુલીપુર ગામના શક્તિ કેન્દ્ર સંયોજક કિરણ ચેહાજી ઠાકોર અને સુંઢિયાના જ સક્રિય સભ્ય ચીંકલભાઈ જે. પટેલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કડી તાલુકાના મેંડા આદરજ ગામના અવિનાશ બિપિનભાઈ ચાવડા, વિજાપુરના ટીટોદણ ગામના વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ અને વિસનગરના પૂર્વ કોર્પોરેટર દર્શનભાઈ ભીખુભાઈ પરમાર સામે પણ પક્ષે સસ્પેન્શનના આદેશ જારી કર્યા છે.ભાજપના આ આકરા પગલાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનમાં શિસ્ત સર્વોપરી છે અને પક્ષ વિરુદ્ધ જનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં.
મહેસાણાના કડી પોલીસ મથકે ફેબ્રુઆરી,2026માં આરોપી દંપતી મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ સામે વકીલ ન હોવા છતાં બીજા વકીલનું નામ ધારણ કરીને ફરિયાદીને દસ્તાવેજો, અરજી, નોટિસ બનાવીને 3.27 લાખ રૂપિયા પડાવી લેવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કડીમાં ઓફિસ ધરાવતા આ દંપતીએ પોતાને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે જણાવી આંતરરાષ્ટ્રીય કેસો લડનાર તરીકેની છાપ ઊભી કરી દેશભરમાં તેમની બ્રાન્ચો આવેલી છે, તેમ જણાવી ફરિયાદીને છેતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વકીલની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવ્યાનો આક્ષેપકેસને વિગતે જોતા એક ફરિયાદીને એક વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા લેવાના હતા. જે સંદર્ભે તેમને રસ્તામાં આવતા જતા ઉપરોક્ત ફાલ્ગુની અને મિતેશ સાધુની વકીલની ઓફિસ જોઈ હતી જેનો તેઓએ સંપર્ક કર્યો હતો. ત્યારે જેની પાસેથી 6 લાખ રૂપિયા લેવાના છે તેની પત્નીએ ફરિયાદી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. તેમ કહીને જુદા જુદા હેડ હેઠળ આરોપીઓએ ફરિયાદી પાસેથી 3.27 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ઓફિસે તાળું મારી દીધું હતું. ફરિયાદીએ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, આવા કોઈ વકીલ નથી અને બંને પતિ પત્ની પાસે કોઈ ડીગ્રી કે સનદ જ નથી. આરોપીઓની ધરપકડની દહેશતને પગલે ફાલ્ગુની સાધુએ મહેસાણાની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના તરફથી વકીલે રજૂઆત કરી હતી કે, ફરિયાદીએ કેસના પૈસા આપવા પડે નહીં, એટલા માટે ઉપજાવી કાઢેલી બાબતો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. અરજદાર ફક્ત રેવન્યુ અને દસ્તાવેજનું કામ કરતા હતા. તે કાયદાના વિદ્યાર્થી છે અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. અરજદારના દિયર એડવોકેટ છે, તેથી તેઓ જમીન અને રેવન્યુનું કામ તેમના વતી લેતા હતા. વકીલના અને કડી PIના બનાવટી સિક્કા મળી આવ્યા હતાસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પાસે સનદ નથી. તેમનું વીઝીટીંગ કાર્ડમાં પોતે વકીલ હોવાનું જણાવ્યું હતું. આમ નકલી વીઝીટીંગ કાર્ડ બનાવ્યું હતું. તેમની ઓફિસમાંથી નોટરીના બનાવટી સિક્કા મળી આવ્યા છે, તેમજ કડી PIના પણ બનાવટી સિક્કા મળી આવ્યા છે. તેઓએ પોતાની છાપ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ તરીકે ઉપજાવી હતી. મહેસાણાની કોર્ટે નોંધ્યું હતું કે, આ ફરિયાદ નોંધાતા એક વ્યક્તિ સામે આવ્યો છે. જેને પાસેથી આરોપીઓ 7 લાખ રૂપિયા લીધા છે. તેથી આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર હોવાથી તેમની આગોતરા જામીન અરજી નકારી કાઢવામાં આવે છે. મહેસાણાની કોર્ટે મહિલા આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢતા તેને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા અરજી દાખલ કરી હતી. જેમાં તેના વકીલ રજૂઆત કરી હતી કે ફરિયાદીએ મોડી ફરિયાદ નોંધાવી છે. અરજદાર એક જુનિયર ઇન્ટર્ન છે, તેમને કોઈ વકીલાત પત્ર આજ સુધી કોઈ પણ કોર્ટમાં ફાઇલ કર્યું નથી. તેઓ પોતાના દિયર જેઓ વકીલ છે, તેના માટે રેવન્યુનું કામકાજ કરતા હતા. તેમને ફક્ત ફરિયાદીના પ્રશ્નોને સોલ્વ કરવા પ્રયત્ન કર્યો છે. ફરિયાદી ફી આપવા માંગતા ન હોવાથી આવી ફરિયાદ કરી છે. ફરિયાદીએ અરજદારને પૈસા આપ્યા હોવાના કોઈ પુરાવા નથી. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ નોંધાતા જુદા જુદા ભોગ બનેલા લોકો સામે આવ્યા છે. જેમાં આરોપી પતિ પત્નીએ ખોટી ઓળખાણ ઊભી કરીને 80 લાખ રૂપિયા લોકો પાસેથી લઈ લીધા છે. તેની પાસેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું કાર્ડ, ખોટા સિક્કા, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વકીલ તરીકેની ઈમેજ ઉભા કરતા દસ્તાવેજ વગેરે મળી આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ LLB પૂર્ણ ન કર્યું હોવા છતાં આ પ્રમાણેની કામગીરી કરી છે. વકીલાતના ઉમદા વ્યવસાયને આ રીતે બદનામ થવા દેવાય નહીં. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રહીશોએ મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે. સફાઈના અભાવે રોષે ભરાયેલા લોકોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર 'મતદાન બહિષ્કાર' ના બેનરો લગાવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે સફાઈ વેરો ભરે છે, તેમ છતાં સફાઈની રજૂઆત કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા તેને 'પ્રાઇવેટ જગ્યા' ગણાવી સફાઈ કરવાની ના પાડવામાં આવે છે. આના કારણે વિસ્તારમાં ગંદકી અને ગટરની સમસ્યા વકરી છે. લતાબેન ભટ્ટી, એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, 'અહીં સફાઈ કામ માટે કોઈ આવતું નથી. અમે સફાઈ માટે કહીએ તો અમને એમ કહેવામાં આવે છે કે આ પ્રાઈવેટ જગ્યા છે. અમે બે-ત્રણ વાર ફોન કર્યા હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. અહીં ગટરની સફાઈ, શેરીની સફાઈ કે કોઈ પણ જાતની સફાઈ થતી નથી.' બેનરો પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, 'આ પ્રાઇવેટ જગ્યા હોવાથી કોઈપણ રાજકીય ઉમેદવારે પ્રચાર કે મતની વિનંતી માટે પ્રવેશ કરવો નહીં.' ચૂંટણીના માહોલ વચ્ચે જામનગરના આ વિસ્તારમાં જોવા મળેલા લોકરોષને કારણે રાજકીય વર્તુળોમાં ચિંતા વ્યાપી છે. હવે જોવું રહ્યું કે તંત્ર કે ઉમેદવારો રહીશોની આ સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી રહીશો પોતાના નિર્ણય પર અડગ રહે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ‘આપ’ના કાર્યકરો અને નેતાઓ લાલઘૂમ થયા હતા. આપના નેતા પંકજ આંબલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સત્તા પક્ષ હારના ડરથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીના હોબાળા ના પગલે કોર્પોરેશનના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના પરત ફર્યા હતા. ભાજપના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યાનો આક્ષેપઆમ આદમી પાર્ટી સુરત દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે, ભાજપિયા ગુંડાઓને હારનો ડર નાભિ સુધી પહોંચી ગયો છે. જનતાના આક્રોશથી બોખલાયેલી ભાજપ કાવા-દાવા કરી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અધિકારીઓને મોકલી કાર્યકર્તાઓને દબાવવાનું કામ કરી રહી છે. ‘સત્તા બદલાતા વાર નહીં લાગે, તમારા માટે લોઢાના મેડલો તૈયાર છે’આપના નેતાઓએ અધિકારીઓને પણ ખુલ્લી ચીમકી આપી હતી. પંકજ આંબલિયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ભાજપના દલાલો અને ભાજપની જી-હજૂરી કરતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે, સત્તા બદલાતા સમય નથી લાગવાનો. તમારા માટે અમે ભારે ભરખમ લોઢાના મેડલો તૈયાર રાખ્યા છે. સત્તા પરિવર્તન થતા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરેલા દલાલોને આ મેડલો આપવામાં આવશે. ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપને ઘેર્યોકાર્યાલયની બહાર થયેલા હોબાળા દરમિયાન ‘આપ’ના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના અનેક કાર્યાલયો ગેરકાયદેસર બિલ્ડિંગોમાં ચાલી રહ્યા છે, પરંતુ તંત્ર ત્યાં કોઈ કાર્યવાહી કરતું નથી. પંકજ આંબલિયાએ વીડિયોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, સામે ચાર માળનું ગેરકાયદે બાંધકામ થયું છે તે SMCને દેખાતું નથી? ભાજપના કાર્યાલયો મોટા મોટા કોમ્પ્લેક્સમાં છે ત્યાં તપાસ કેમ નથી થતી? માત્ર સામાન્ય જનતા માટે કામ કરતી આમ આદમી પાર્ટીના નાના મંડપ અને ઝંડાઓથી તંત્રને તકલીફ થઈ રહી છે. 30 વર્ષના શાસનથી જનતા થાકી છે: પંકજ આંબલિયાવધુમાં પંકજ આંબલિયાએ જણાવ્યું કે, આ વખતે સુરતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. ગુજરાતમાં 30 વર્ષથી સત્તા ભોગવતી ભાજપ સામે હવે લોકોમાં રોષ છે. 'આ વખતે ઝાડુ' અને 'આ વખતે પરિવર્તન'ના નારાથી ભાજપ ડરી ગઈ છે અને એટલે જ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે.
ગાંધીનગરના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર વહીવટી વિવાદ નહીં પરંતુ રાજકીય જંગમાં પરિવર્તિત થયો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે દહેગામના પશુપાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેનો પડઘો હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે. આજે 15 એપ્રિલે બારિયા ગામે ભાજપનો પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને ગ્રામજનોએ અટકાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. બંન્ને ડેરીના વિખવાદથી પશુપાલકોને નુકસાનઅમદાવાદ જિલ્લા ડેરી સંઘ ઉત્તમ ડેરી અને ગાંધીનગર જિલ્લા સંઘ મધુર ડેરી વચ્ચેના કાનૂની અને વહીવટી ગજગ્રાહમાં સામાન્ય પશુપાલકો પિસાઈ રહ્યા છે. પશુપાલકોની ફરિયાદ છે કે તેઓને દૂધના નિકાલ અને વ્યવસ્થામાં વહીવટી તંત્રના અંદરોઅંદરના વિખવાદને કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ આક્રોશના ભાગરૂપે પશુપાલકોએ મધુર ડેરીમાં દૂધ નહીં તો વોટ નહીં ના નારા સાથે એક વ્યાપક લડત શરૂ કરી છે. પશુપાલકોએ હાથમાં બેનરો સાથે આજે 15 એપ્રિલે ધારાસભ્ય બલરાજસિંહ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે બારિયા ગામે મત માંગવા પહોંચ્યા હતા. ત્યારે પશુપાલકોએ હાથમાં બેનરો સાથે તેમની ગાડી રોકી હતી. પશુપાલકો ઈચ્છતા હતા કે લોકપ્રતિનિધિ તેમની વાત સાંભળે અને આ ડેરી વિવાદનો કાયમી ઉકેલ લાવે. જોકે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય પશુપાલકોની વેદના સાંભળવાને બદલે ત્યાંથી ગાડી હંકારી ગયા હતા. મતોનું નુકસાન વેઠવું પડશે તેવી ચીમકીજેથી ધારાસભ્યના ગયા પછી લોકોનો રોષ બેવડાયો હતો. ગ્રામજનોએ કાફલામાં રહેલા ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઘેરાવમાં પશુપાલકોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો મધુર ડેરીમાં પશુપાલકોના દૂધના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સત્તાધારી પક્ષને આ વખતે મતોનું ભારે નુકસાન વેઠવું પડશે. ત્યારે સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડેરીના આ સહકારી વિવાદે હવે પશુપાલકોમાં જે રોષ જન્માવ્યો છે, તે આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિતથઈ શકે છે. જો વહેલી તકે ઉત્તમ અને મધુર ડેરી વચ્ચેનો વહીવટી પેચ નહીં ઉકેલાય તો દૂધની આ લડાઈ મધુર બનવાને બદલે શાસક પક્ષ માટે કડવી સાબિત થશે.
પાટણ શહેરમાં સગીર વયની બાળકીના તેની મરજી વિરુદ્ધ કરાવાઈ રહેલા લગ્નને 112 જન રક્ષક અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી અટકાવ્યા છે. બાળકીને સુરક્ષિત રીતે બચાવી ધારપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ ઘટનાની શરૂઆત પાટણ સિટી બી ડિવિઝન 112 જન રક્ષક વાનને મળેલા ઈમરજન્સી કોલથી થઈ હતી. આ ઉપરાંત, ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ સુરક્ષા શાખામાં ડી.પી.સી. તરીકે ફરજ બજાવતા નીલિશાબેન ચૌહાણને 1098 હેલ્પલાઈન મારફતે બાતમી મળી હતી. બાતમી અનુસાર, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીને તેના માતા-પિતા હેરાન કરી રહ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ બાળલગ્ન કરાવી રહ્યા હતા. માહિતી મળતા જ 1098 ના પી.સી. નીલિશાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બાળકીના માતા-પિતાને કાયદાકીય સમજ આપી લગ્ન ન કરવા જણાવ્યું હતું. જોકે, માતા-પિતા દ્વારા પૂરતો સહકાર ન મળતા અને ઘર્ષણની સ્થિતિ જણાતા 112 જન રક્ષક હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. 1098 ના સભ્યો અને 112 ના જવાનોએ સાથે મળીને બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી. ત્યારબાદ બાળકીને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ મહિલા સેન્ટરને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં 112 જનરક્ષક વાન ઇન્ચાર્જ એ.પી.સી. પ્રભુરામ કેશાભાઈ અને પાયલોટ દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ જોડાયા હતા. હાલ આ મામલે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જોકે હાલ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના કારણે હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી હોય તેમ હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં 1.39 લાખ, ફેબ્રુઆરીમાં 1.26 લાખ તો માર્ચમાં મુસાફરો ઘટીને 1.16 લાખ થઈ ગયા. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી ટુર્સ ઓપરેટરોને આશા છે. ગત વર્ષે રાજકોટ એરપોર્ટ પરથી 12.53 લાખ મુસાફરોએ ફલાઇટમાં અવરજવર કરી હતી. જેમાં 6.13 લાખ મુસાફરો રાજકોટ એરપોર્ટ પર ફલાઇટમાં આગમન કરી ચૂક્યા છે. જ્યારે 6.39 લાખ મુસાફરો રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં પ્રસ્થાન કરી ચૂક્યા છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ એપ્રિલ અંતથી શરૂ થશે. હાલ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે જેને કારણે દુબઇ અને ટર્કી જેવા સ્થળોએ જવાનું હવાઈ મુસાફરો ટાળી રહ્યા છે. જેથી ફલાઇટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે લોકો પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી પડતા હોઈ છે તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહિનો - આગમન - પ્રસ્થાન - કુલ એપ્રિલ/2025 - 45482 - 50064- 95,546મે/2025 - 36388 -34743 -71,131જૂન/2025 - 43847 -47128 -90,975જુલાઈ/2025 - 41931-45222-87,153ઓગસ્ટ/2025 - 44373 -46625 -90,998સપ્ટેમ્બર/2025 - 43638 - 48922 - 92,560ઓક્ટોબર/2025 - 53325-53931-1,07,256નવેમ્બર/2025 - 58657 -64432 -1,23,089ડિસેમ્બર/2025 - 54417 - 57572- 1,11,989જાન્યુઆરી/2026 - 69876 - 69817 - 1,39,693ફેબ્રુઆરી/2026 - 63794 - 62,734 - 1,26,528માર્ચ/2026 - 58093 - 58693 - 1,16,786ટોટલ - 6,13,821 - 6,39,883 - 12,53,704 રાજકોટ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર સુધી 14 ફ્લાઈટની ઉડાન ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ તાપમાન વધશેગરમ અને ભેજવાળું વાતાવરણ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌથી વધુ રાજકોટમાં તાપમાન નોંધાયુંછેલ્લા 24 કલાકનું તાપમાન વિશે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સૌથી વધુ રાજકોટમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને એક 'ટ્રફ' સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે.
રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે ભાજપ દ્વારા આગામી 5 વર્ષના રોડ મેપ સાથેનો સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ મુખ્ય 9 મુદ્દાઓને આવરી લઇ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ પત્ર જાહેર કરી જણાવ્યું કે, બીજા પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો હોય છે ભાજપ માટે સંકલ્પ પત્ર હોય છે અને આ સંકલ્પ પત્ર ભાજપ માટે ભગવત ગીતા સમાન છે. રાજકોટ આજે સ્માર્ટ સીટી બની ગયું છે અને હવે મેટ્રો સીટી બનાવવા તરફ ભાજપ સરકાર સંકલ્પ સાથે આગળ વધી રહી છે આવતા દિવસોમાં રાજકોટમાં મેટ્રો રેલની વ્યવસ્થા પણ શરૂ કરવા સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ દિશામાં આગળ કામ પણ થઇ રહ્યું છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને લઇ આજે ભાજપનો સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરો નહિ પરંતુ ભાજપ સંકલ્પ પત્ર લોકો સમક્ષ મૂકે છે. ભાજપ માટે આખા દેશમાં સંકલ્પ પત્રએ ભગવત ગીતા સમાન છે. 2047માં દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો સી તેમનો એક ભાગ ગુજરાત અને રાજકોટ છે. ગુજરાત નવી એક ઊંચાઈ પર જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરને કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી કારણ કે રાજકોટ જનસંઘ વખતથી ભાજપનો ગઢ બની ગયું છે. અમારા ઉમેદવારો નગરસેવક બનવાના છે. જનતાની અપેક્ષાઓ આધારે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. ઢંઢેરો ચૂંટણી લક્ષી હોય પણ સંકલ્પ પત્ર અમારા માટે ગીતાજીનો ગ્રંથ છે. લોકસેવા માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. રાજકોટનો રૂણ અમે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. ફરી એક વાર જનાદેશ માંગવા અને આશીર્વાદ માંગવા લોકો વચ્ચે ભાજપ જઈ રહ્યું છે. સ્માર્ટ સિટીની અનુભૂતિ અહીંયા રાજકોટમાં થઇ રહી છે. ભાજપના તમામ આગેવાનો કાર્યકર્તાને અભિનંદન આપું છું. રૂપિયાના કારણે રાજકોટના વિકાસનું કોઈ કામ અટકશે નહિ પ્રજાના પૈસા પ્રજાના કામ માટે જ વપરાશે. રાજકોટને મેટ્રો સીટી બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ વોર્ડને વિકસિત બનાવવામાં આવશે. અને ખાસ મેટ્રો ટ્રેન શરૂ કરાવવા માટે સંકલ્પ રાજકોટ માટે લેવામાં આવ્યો છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી આવી એટ ખોટા વાયદાઓ આપી રહી છે. કોંગ્રેસ હાર ભાડી ગઇ છે એટલે ખોટા આક્ષેપો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના કાર્યકર્તા અને ઉમેદવારો ઉપર તેમને ભરોસો જ નથી માટે તે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ ભૂતકાળ ભૂલી ગઈ છે રાજ્યસભાની ચૂંટણી સમયે પણ મોટા નેતાઓ જયપુર ને બેંગ્લોર લઇ જવાની ફરજ પડી હતી. હાર ભાડી ગઈ છે એટલે દરેક વખતે ભાજપ ઉપર આક્ષેપ કરે છે. ખાસ કહેવાનું એટલું જ છે કે જનતાનો જનાદેશ ભાજપ સાથે છે. જન સમર્થન ભાજપને છે જન સમર્થન વિકાસને છે. રાજકોટ શહેરની જનતા માટે ભાજપ દ્વારા મુખ્ય 9 બાબતોને ધ્યાનમાં રાખી સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. (1) આંતરમાળખાકીય સુવિધા અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ (2) પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થા (3) આરોગ્ય અને સુખાકારી (4) શિક્ષણ યુવા અને રમત ગમત (5) રોજગાર વેપાર અને ઔદ્યોગિક વિકાસ (6) મહિલા શશક્તિકરણ અને ઉત્કર્ષ (7) પર્યટન, મનોરંજન અને સાંસ્કૃતિક વિકાસ (8) ટેક્નોલોજી, વહીવટ અને સુરક્ષા (9) કરવેરામાં રાહત અને પ્રોત્સાહક યોજનાઓ
હિંમતનગર માર્કેટયાર્ડમાં આગામી બે દિવસ ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદની આગાહીને પગલે આ સૂચના જારી કરવામાં આવી છે. જોકે, તમાકુ ભરેલા કોથળાઓની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે. હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જણાવાયું છે કે, 18 એપ્રિલ, 2026 થી વરસાદ પડવાની સંભાવના છે. આથી, ખેડૂતોએ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવતી ખેત પેદાશોને યોગ્ય રીતે ઢાંકીને લાવવાનો આગ્રહ રાખવો. હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા જાહેર સૂચના મુજબ, વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને, ખુલ્લી તમાકુ ભરેલા વાહનોની હરાજી શુક્રવાર, 17 એપ્રિલ, 2026 અને શનિવાર, 18 એપ્રિલ, 2026 એમ બંને દિવસોએ બંધ રહેશે. જ્યારે, તમાકુ ભરેલા કોથળાઓની હરાજી નિયમિતપણે ચાલુ રહેશે. સહકારી જીન વિસ્તારમાં આવેલા કોટનયાર્ડમાં તમાકુ વેચવા આવતા ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, તમાકુ ફરજિયાતપણે બોરી ભરીને લાવવાની રહેશે. તમાકુની હરાજી સહકારી જીનમાં જ કરવામાં આવશે, જેથી ખેડૂતોએ પોતાના સાધનો સહકારી જીનમાં જ ઊભા રાખવા.
વિક્રમ માલીવાડને પાસા હેઠળ જેલભેગો કરાયો:મહિસાગર LCBએ આરોપીને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલ્યો
મહિસાગર પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ટીમે કડાણા તાલુકાના મોટા ભાગલીયાના રહેવાસી વિક્રમ સોમાભાઈ માલીવાડને પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્ત્વો સામે પાસા-તડીપારના કાયદા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને, એલસીબી પીઆઈ એમ.કે. ખાંટ દ્વારા વિક્રમ સોમાભાઈ માલીવાડ (રહે. મોટા ભાગલીયા, ઘોડીમાર્ગ ફળિયું, તા. કડાણા, જિ. મહિસાગર) વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ મહિસાગરને મોકલી આપવામાં આવી હતી. આવા ઇસમની સમાજ વિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જરૂરી જણાતા, મહિસાગર જિલ્લા મેજિસ્ટ્રેટે વિક્રમ માલીવાડ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, એલસીબીની ટીમે વિક્રમ સોમાભાઈ માલીવાડની પાસા હેઠળ અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ ભુજ ખાતે મોકલી આપ્યો છે.
વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 17 એપ્રિલ, 2026, શુક્રવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપને કારણે હુડકો સોસાયટી, મોચી નગર, સાંઈ બાબા મંદિર પાછળનો વિસ્તાર, ડારી રોડ, માનવ રેસિડેન્સી, ગોકુલનગર, રામદેવ નગર અને જૂની ITI સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતો ટાળવા માટે, વીજ સ્થાપનો પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવાની સલાહ આપવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. સુરતની વરાછા રોડ બેઠકના ભાજપના ધારાસભ્ય કુમારકાનાણી દ્વારા લખવામાં આવતા પત્રની કોઈ અસર ન થતી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કાનાણીએ વળતો પ્રહાર કર્યો હતો. પોતાના એકપત્રથી વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ હોવાનો દાવો કર્યો. સાથે કહ્યું- આપવાળાઓ તો તમને આગ્રાથી તાજમહેલ લાવી વરાછામાં મૂકી દેવાના દાવા કરશે, એમના બાપનું શું જાય? પત્ર મુદ્દે આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપો પર કાનાણીનો પ્રહારતાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી કુમાર કાનાણીના પત્રોની ટીકા કરવામાં આવી હતી. 'આપ'ના નેતાઓનો આરોપ હતો કે, કુમારકાકા પત્રો તો લખે છે પણ કોઈ અધિકારી તેમને ગણકારતા નથી. આ ટીકાનો જવાબ આપતા કાનાણીએ ચૂંટણી સભામાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મારા પત્રોની શું અસર થાય છે એ જનતા જાણે છે. પત્ર લખવો એ જનતાનો અવાજ ઉઠાવવાનું સાધન છે અને તેનાથી પ્રશાસનમાં દોડધામ મચી જાય છે. પોતાના પત્રથી શું અસર થાય છે તેના કાનાણીએ ઉદાહરણ આપ્યાપોતાના પત્રની અસરનું ઉદાહરણ આપતા ધારાસભ્યએ જણાવ્યું કે, અગાઉ આવકના દાખલા કઢાવવા માટે લોકોએ રાતના બે વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. લોકો તડકામાં હેરાન થતા હતા. મેં માત્ર એક પત્ર લખીને અધિકારીને જાણ કરી અને બીજા જ દિવસે સવારે 9 વાગ્યે ત્યાં મંડપ નંખાઈ ગયા, ઠંડા પાણીની વ્યવસ્થા થઈ ગઈ અને ધીમે ધીમે આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ. આજે લોકોને ક્યાંય ધક્કા ખાવા પડતા નથી, આ મારા પત્રની અને રજૂઆતની જ તાકાત છે જેના કારણે અધિકારીઓએ કામ કરવું પડ્યું છે. 'મારા પત્રના કારણે વાસદ પાસે પોલીસની હપ્તાખોરી બંધ થઈ'કાનાણીએ પોલીસ તંત્ર પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, અગાઉ વાસદ ટોલનાકા પાસે પોલીસના ઝુંડ ઉભા રહેતા હતા. સામાન્ય નાગરિકો પાસેથી હજારો રૂપિયા પડાવવામાં આવતા હતા. દિવાળીના સમયે લોકોની આ પીડા જાણીને મેં પત્ર લખ્યો કે આ લૂંટ અને હપ્તાખોરી બંધ થવી જોઈએ. આજે સ્થિતિ એ છે કે ત્યાં એક પણ પોલીસવાળો ખોટી રીતે હેરાન કરતો દેખાતો નથી. પોલીસના પરસેવા છૂટી ગયા છે કારણ કે તેઓ જાણે છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જાગૃત છું. આપ વરાછામાં તાજમહેલ લાવવાના વાયદા કરશે: કાનાણીનો કટાક્ષઆમ આદમી પાર્ટીના વાયદાઓને જૂઠાણું ગણાવતા કુમાર કાનાણીએ ભારે રમુજ સાથે પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપને ખબર છે કે અમારે સત્તામાં આવવાનું છે અને પ્રજાને જવાબ આપવાનો છે, એટલે અમે વિચારીને વચનો આપીએ છીએ. પરંતુ 'આપ'ને ખબર છે કે તેઓ ક્યારેય જીતવાના નથી, એટલે ગમે તેવા બણગા ફૂંકે છે. કાલે ઉઠીને આ લોકો એમ પણ કહેશે કે અમે આગ્રાનો તાજમહેલ નાના વરાછામાં લાવીને મૂકી દઈશું! ખોટું બોલવાની પણ એક હદ હોય છે, જે આ લોકો વટાવી રહ્યા છે. સરકાર સામે પણ બાથ ભીડવાની તૈયારીપોતાની કાર્યશૈલી સ્પષ્ટ કરતા કાનાણીએ જણાવ્યું કે, ભલે હું સરકારનો ધારાસભ્ય છું, પરંતુ જ્યારે લોકોની વેદના કે પ્રશ્નોની વાત આવે છે ત્યારે હું મારી જ સરકાર સામે પણ બાથ ભીડતા અચકાતો નથી. અધિકારીઓ સામે પણ મેં અનેકવાર મોરચો માંડ્યો છે. ભાજપના કાર્યકર્તા તરીકે ગર્વ છે પણ લોકોના કામ માટે હું હંમેશા લડાયક મૂડમાં રહ્યો છું અને રહીશ. પાટીદાર ગઢમાં ભાજપ vs AAPસુરત મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ખાસ કરીને વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં રસાકસી જામી છે. પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કુમાર કાનાણીની આક્રમક શૈલી અને તેમના પત્રો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે 'આપ' દ્વારા તેમના પર કરવામાં આવતા વ્યક્તિગત પ્રહારોનો જવાબ તેઓ હવે જનસભાના માધ્યમથી આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડવાઈઝ ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય રહી છે. ભાજપ દ્વારા આજે 16 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને AMC પૂર્વ પદાધિકારીઓએ આગામી પાંચ વર્ષમાં ભાજપ શું કરશે તેનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27માં ભાજપના પદાધિકારીઓ દ્વારા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત ફરીથી ભાજપના ચૂંટણી સંકલ્પ પત્રમાં કરવામાં આવી હતી. ભાજપના નેતાઓને કોઈ ખાસ મોટી જાહેરાત ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં કરવામાં આવી નથી. રિવરફ્રન્ટ ગિફ્ટ સુધી આગળ વધારાશેભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમે આવતાં પાંચ વર્ષમાં અમદાવાદ માટે શું કરીશું એના માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. રિવરફ્રન્ટને ડફનાળાથી ઈન્દિરા બ્રિજ અને ગિફ્ટ સીટી સુધી આગળ વધારવાનું આયોજન છે. 2026-27માં 15 અને 2027-28માં 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે. શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના મુકાઈ છે. 100 LEFT ટર્ન ખુલ્લા મૂકવામાં આવશે. 'સુભાષબ્રિજ 8 માર્ગીય બનાવાશે'અમદાવાદ શહેરને સ્લમ મુક્ત કરવામાં આવશે. 50000 મકાનોનો લક્ષ્યાંક મૂકવામાં આવશે. 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ફાટકમુક્ત અમદાવાદ બનાવવામાં આવશે. 17 નવા બ્રિજ બનાવવાનું આયોજન. સુભાષબ્રિજને 8 માર્ગીય બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવશે. '5 વર્ષમાં પીરાણા ડમ્પરિંગ સાઈટ દૂર થશે'વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે થઈને શહેરમાં ગ્રીન કવર વધારવામાં આવશે. શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનની બંને તરફ ગ્રીન કવર વધારવામાં આવશે. અમદાવાદનું ગ્રીન કવર 12.50 ટકાથી વધારીને 18 ટકા કરવાનું લક્ષ્યાંક છે. આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં સૌથી મોટા ડમ્પિંગ સાઈટ એવા પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરવામાં આવશે એવો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત રેઈન ફોરેસ્ટ-2 કોમ્પ્લેક્ષમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્કને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે કિંગ ધ લક્ઝરી હમામ સ્પામાં દરોડા પાડીને દેહવ્યાપાર કરાવતી અમદાવાદની મહિલા સંચાલિકા જલ્પા ભાવેશભાઈ મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવીગાંધીનગરના કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ-2 કોમ્પ્લેક્ષના બીજા માળે કિંગ ધ લક્ઝરી હમામ સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને બાતમી મળી હતી. જેના પગલે AHTUની ટીમ દ્વારા એક ડમી ગ્રાહકને રજિસ્ટર્ડ સીરીયલ નંબર વાળી રૂ.500 ની 14 નોટો આપીને સ્પામાં મોકલ્યો હતો. બાદમાં ડમી ગ્રાહકે સ્પામાં જઈ મસાજ અને દેહ વિક્રિયની માંગણી કરતા સંચાલિકાએ સંમતિ આપી હતી. ત્યારે ગ્રાહક તરફથી લીલીઝંડી મળતા જ પોલીસ કાફલાએ તુરંત સ્પામાં પ્રવેશ કર્યો હતો.આ રેઈડ દરમિયાન રૂમ નંબર 1માંથી એક પીડિત યુવતી મળી આવી હતી.જેની પાસે ગ્રાહકે આપેલ રજિસ્ટર્ડ સીરીયલ નંબર વાળી ચલણી નોટો મળી આવી હતી. યુવતીઓને માસિક પગારથી નોકરી પર રાખી હતીજે અંગે સ્પામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સ્ટાફ રૂમમાંથી અન્ય ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી. જેઓ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, અમદાવાદ અને મિઝોરમ જેવા વિવિધ વિસ્તારોની વતની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પીડિત યુવતીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે સંચાલિકા જલ્પા તેમને દેહવ્યાપાર માટે માસિક પગાર આપતી હતી. આ મામલે પોલીસે સ્થળ પરથી દેહવ્યાપારના વકરાના કુલ રૂ. 5 હજાર જપ્ત કરી સંચાલિકા જલ્પાબેન મકવાણા વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મરેંગો એશિયા હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા હોસ્પિટલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેને દત્તક લેવામાં આવ્યો છે. જેના માટે પેટ્રોલ પંપ અને દુકાનોના કર્મચારીઓને CPR સહિતની ટ્રેનિંગ આપવામાં આવશે. ગોલ્ડન અવરમાં ઝડપી સારવાર આપવામાં આવશે. જેથી લોકોના જીવ બચાવી શકાય. મરેંગો એશિયા હોસ્પિટલ્સના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEOએ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, આજે મરેંગો એશિયા હોસ્પિટલ્સ માટે એક ઐતિહાસિક દિવસ છે. અમે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ જોડાણ સાથે મરેંગો એશિયા હવે ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ચેન તરીકે ઉભરી આવી છે. અમારી પાસે હવે ગુજરાતમાં 1100થી વધુ બેડની ક્ષમતા છે, જે કોઈપણ નેશનલ ચેન કરતા વધારે છે. સમગ્ર દેશમાં અમારી ચેન પાસે હવે 2500 બેડ અને 8 હોસ્પિટલો છે, જેમાંની એક સાઉદી અરેબિયામાં પણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થકેરના સ્તરને સુધારવાનો છે. અમે એવા શહેરોમાં જવા માંગીએ છીએ જ્યાં અત્યાધુનિક સારવારનો અભાવ હોય. અમે વડોદરા અને સુરત જેવા શહેરોમાં એવી ટેકનોલોજી અને સારવાર લાવવા માંગીએ છીએ જે અત્યાર સુધી અહીં ઉપલબ્ધ નહોતી. હવે દર્દીઓને જટિલ સારવાર માટે મોટા મેટ્રો શહેરોમાં જવાની જરૂર નહીં પડે. તેઓએ કહ્યું કે, અમારો ખાસ ભાર ટ્રાન્સપ્લાન્ટ પર રહેશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લંગ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ અહીં કાં તો નહોતી અથવા ખૂબ જ મર્યાદિત હતી. અમે આ તમામ જટિલ સર્જરીઓ અને તેના નિષ્ણાતોને અહીં લાવીશું. હવે વડોદરા અને સુરતના દર્દીઓને એક 'સેફ ક્લિનિકલ કોરિડોર' મળશે, જેથી તેમને શ્રેષ્ઠ ઈલાજ ઘર આંગણે જ મળી રહે. ટતેઓએ કહ્યું કે, આ અમારી એક સામાજિક જવાબદારી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઘણા અકસ્માતો થાય છે, યુવાનો જીવ ગુમાવે છે. જેને લઈને હાઈવેને દત્તક લેવામાં આવ્યો છે. અમે ટાટા મોટર્સ અને હાર્વર્ડના સહયોગથી લોકોને ટ્રેનિંગ આપીશું. અમારો પ્રયાસ છે કે 'ગોલ્ડન અવર'માં દર્દીને યોગ્ય સારવાર મળે, જેથી મૃત્યુદર ઘટાડી શકાય.
સાબરકાંઠા જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં દોઢ વર્ષથી ફરાર પોક્સોના આરોપીને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. 1.5 વર્ષથી ફરાર પોક્સોનો આરોપી ઝડપાયોહિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસતો-ફરતો આરોપી રાણાદા રવિન્દ્રનાથ પ્રસાદ (રહે. ન્યુ કોલોની, પશ્ચિમ બંગાળ) હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી મળી હતી. LCB PI ડી.ડી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા ટીમ-1 ના PSI આર.એલ. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે A ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 4 વર્ષથી નાસતો-ફરતો પ્રોહિબિશનનો આરોપી પકડાયોતલોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રણાસણ ચોકડી પાસેથી સતીષ બાબુલાલ ખરાડી (ઉંમર 24, રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સજા પામેલો આરોપી SOGની પકડમાંસાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઇન્ચાર્જ PI કે.યુ. ચૌધરી અને તેમની ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરીમાં હતી. આ દરમિયાન ઇડરની જ્યુડિશિયલ કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1936/2024 માં સજા પામેલો આરોપી સિરાજ ગફુર મેમણ તેના ઘરે હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક ઇડરના અમનપાર્ક વિસ્તારમાં દરોડો પાડીને આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો.
ABVP દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચ્યા હતા. ત્યારે સત્તાધીશો દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી આક્રોશમાં આવીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કોલેજના પોસ્ટર ફાડી નાખ્યા છે. તેમજ ઇલેક્ટ્રિક માટેની મેઈન સ્વિચ બંધ કરી દીધી છે. મેઈન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાકડીઓ સાથે પોલીસને ઉતારવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં મતદાન દિવસે શ્રમયોગીઓને સવેતન રજા:પગાર કપાત નહીં થાય, ઉલ્લંઘન પર કાર્યવાહી થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે શ્રમયોગીઓને સવેતન રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ લોકશાહીના પર્વમાં તમામ શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ રજા કારખાના ધારા (ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020) તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન એક્ટ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓ અને સાઇટના શ્રમયોગીઓને લાગુ પડશે. આ અંગે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. લોકપ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ 135(બી) મુજબ, આ રજા જાહેર થવાથી સંબંધિત શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરી શકાશે નહીં. જો કોઈ કર્મચારી રજાના કારણે પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો પણ તેને તે દિવસનો પૂરો પગાર ચૂકવવાનો રહેશે. જે વ્યવસાયોમાં કર્મચારીની ગેરહાજરીથી મોટું નુકસાન કે જોખમ ઊભું થવાની સંભાવના હોય, અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. આવા કિસ્સાઓમાં, શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાકની સવેતન રજા આપવાની રહેશે. કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા આ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. હવે પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વોર્ડ 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને આડકતરી રીતે ચેલેન્જ આપી હતી. તેઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. વિસ્તારમાં લાગેલા બેનરો અંગે તીખી પ્રતિક્રિયાવોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે, આ સોસાયટી રામભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છે અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. આ મધુ શ્રીવાસ્તવ છે આજે પણ તમને હરાવવાની તાકાત રાખે છે. ભ્રષ્ટાચાર કરી મિલકત ભેગી કર્યાના આક્ષેપમધુ શ્રીવાસ્તવે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, એક સમયમાં જેઓ પાસે કંઈ ન હતું તેઓ આજે કરોડોની મિલકતના માલિક થઈ ગયા છે. શૈલેષ મહેતા ઉપર નિશાન તાકતા તેઓએ જણાવ્યું હતું કે સ્કુલ ખોલી લોકો સાથે ચીટીંગ કરવાની, પેટ્રોલપંપો બનાવવાના અને જમીનો હડપ કરવાની તે બધા ધંધા છે. મારી પાસે 250 વીઘા જમીન હતી જે રાજકારણ માટે અને સેવા માટે વેચી હવે ખાલી 35 વીઘા રહી છે. આ બની બેઠેલા નેતાઓ છે ત્યારે હવે પરિવર્તન લાવવાની જરૂર છે. 'તમને જીતાડનાર પણ મધુ શ્રીવાસ્તવ હતા અને હરાવનાર પણ હું જ હતો'તેઓએ જાહેરમાં જણાવ્યું હતું કે તમને જીતાડનાર પણ મધુ શ્રીવાસ્તવ જ હતા અને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે. મારી દીકરીઓ દસ વર્ષે આ વિસ્તારની સેવા કરે છે. મેં કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે. આ વખતે આ લોકોને જાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના દાખલો કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે. ભ્રષ્ટાચાર સિવાય કામ થતાં નથી ત્યારે લોકોએ સમજવાની જરૂર છે.
અત્યારે અડધી દુનિયા સીધી કે આડકતરી રીતે કોઇને કોઇ જાતના યુદ્ધમાં જોતરાયેલી છે. આ સદીના 3 વિશ્વયુદ્ધ અને એની પહેલાં કેટલીય સદીઓ યુદ્ધમાં ગઇ. માનવજાતના ઇતિહાસમાં કોઇ જ સમય એવો ગયો હશે કે જ્યારે આ પૃથ્વી પર એક કે બીજા કારણોસર લડાઇ ના લડાઇ હોય. પછી એ ધર્મ માટેનું યુદ્ધ હોય, ખજાના માટેનું યુદ્ધ હોય, વિસ્તાર વધારવા માટે કે પછી અત્યારે ચાલી રહ્યા છે એ દુનિયાને પરમાણુ હથિયારથી બચાવવા માટેના યુદ્ધ હોય અને કરુણતા કે વક્રોક્તિ એ છે કે અત્યારે ચાલી રહેલી લડાઇ, દુનિયામાં શાંતિ સ્થપાઇ એ માટેની છે! માટે જ દુનિયાના દરેક દેશો કોઇપણ આક્રમણ કે પોતાની સરહદ સાચવવા, કરોડો-અબજો રૂપિયા સંરક્ષણ બજેટ માટે વાપરે છે અને છતાંય કોઇ દેશની બોર્ડર, દેશ કે દેશની અંદરના લોકો સલામત નથી. એ હકીકત દર્શાવે છે કે કદાચ આપણે કંઇક ખોટું કરી રહ્યા છીએ અને શું ખોટું કરી રહ્યા છીએ એ દુનિયાનો એક દેશ કદાચ જાણે છે અને એ દેશ છે દક્ષિણ અમેરિકાનો કોસ્ટારિકા. લશ્કરની ક્યારેય જરૂર નથી પડીમધ્ય અમેરિકા ખંડમાં આવેલો કોસ્ટારિકા એક નાનો પરંતુ અત્યંત સુંદર અને સમૃદ્ધ દેશ તો છે જ પણ મધરાતે 4 વાગ્યે પણ કોઇ છોકરી નહીંવત કપડાં પહેરીને એકલી રસ્તે ચાલતી જઇ શકે કોઇપણ બીક વગર એ સલામતીની ખાતરી આપતો દેશ છે! માટે જ વિશ્વમાં શાંતિપ્રિય દેશ તરીકે ઓળખાતા આ દેશને લશ્કરની ક્યારેય જરૂર નથી પડી પોતાની સરહદ કે દેશને સાચવવા! જુદા-જુદા દેશો સાથે જોડાયેલી સરહદજે દેશના નામનો અર્થ જ સંપન્ન કિનારો છે એ કોસ્ટારિકા અમેરિકા ખંડમાં આવેલો એવો દેશ છે જેની સરહદો ઉત્તર તરફ નિકારાગુઆ અને દક્ષિણ તરફ પનામા સાથે જોડાયેલી છે. જ્યારે પશ્ચિમમાં પેસિફિક મહાસાગર અને પૂર્વમાં કેરેબિયન સમુદ્ર તેની કુદરતી સીમાઓ બનાવે છે. અને ખરેખર તેની આ ભૌગોલિક સમુદ્રી અને જમીની સરહદ એને ખોબે ખોબા ભરીને કુદરતી સમૃદ્ધિથી નવાજે છે. જેના માટે સંપન્ન કિનારો શબ્દ ચરિતાર્થ થાય છે! જેમાં શાંતિ, વિકાસ અને લોકશાહીનો સુંદર સમન્વય જોવા મળે છે એવા આ કોસ્ટારિકાનો ઇતિહાસ સરળ પરંતુ રસપ્રદ છે. 1502 માં સોનાની ચીડિયા ગણાતા હિન્દુસ્તાનને શોધવા નીકળેલો ક્રિસ્ટોફર કોલંબસ આ રળિયામણા દેશમાં આવ્યો એ પહેલા અહીં વિવિધ આદિવાસી જનજાતિ વસતિ હતી. જેમ કે ચોરોટેગા અને બ્રિબ્રી. તેઓ કૃષિ, માછીમારી અને હસ્તકલા પર આધારિત જીવન જીવતા હતા પણ વિસ્તારવાદ માટે જાણીતા એવા યુરોપિયન ખાસ કરીને સ્પેનિશ કોલંબસ અહીં આવ્યા પછી અહીં સ્પેનિશ શાસન શરૂ થયું પણ કહેવાય છે ને કે ધાડ સંપન્ન લોકોને ત્યાં પડે, ગરીબોના ઝૂંપડામાં નહીં એ હિસાબે અન્ય લેટિન અમેરિકન દેશોની સરખામણીમાં કોસ્ટારિકા પર સ્પેનિશ શાસનનો પ્રભાવ ઓછો રહ્યો કારણ કે અહીં સોના-ચાંદી જેવી કિંમતી સંપત્તિ ઓછી હતી. હરિયાળા જંગલો, સુંદર દરિયા કિનારા માટે જાણીતો દેશપણ છતાં સોના ચાંદી કરતાં અનેકગણી વધારે કિંમતી સમૃદ્ધિ ધરાવતું કોસ્ટારિકા તેના હરિયાળા જંગલો, અદભૂત જૈવ વિવિધતા અને સુંદર દરિયાકિનારા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આખા દેશના લગભગ 25% વિસ્તારમાં નેશનલ પાર્ક રિઝર્વ રાખવાની સમજદારી ધરાવતો આ દેશ એટલા માટે જ પર્યાવરણ સંરક્ષણ માટેનું એક અનોખું ઉદાહરણ છે. અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે વાંદરા, સ્લોથ, રંગબેરંગી પંખી અને દુર્લભ તિતલી વગેરે આ ભૂમિથી આકર્ષાઇને અહીં વસવાટ દ્વારા પ્રકૃતિપ્રેમીઓ માટે આ દેશને સ્વર્ગ સમાન બનાવે છે. માત્ર સ્વર્ગ જ નહીં પણ વિશ્વમાં શાંતિપ્રિય દેશ તરીકે ઓળખાતા કોસ્ટારિકામાં 1948થી સેનાનું ઉન્મૂલન કરવામાં આવ્યું અને ત્યારથી દેશે પોતાની આવક શિક્ષણ, આરોગ્ય અને વિકાસ પર ખર્ચવાની શરૂઆત કરી. આ કારણે કોસ્ટારિકાની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા મધ્ય અમેરિકામાં શ્રેષ્ઠ ગણાય છે. 1821માં સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવીશાંતિ, વિકાસ અને લોકશાહીનો સુંદર સમન્વય જ્યાં જોવા મળે છે એ કોસ્ટા રિકાએ 1821માં સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી. શરૂઆતમાં તે મધ્ય અમેરિકન ફેડરેશનનો ભાગ બન્યું પરંતુ 1838માં તે સંપૂર્ણ સ્વતંત્ર દેશ બન્યો. આ સમય દરમિયાન દેશે કૃષિ આધારિત અર્થતંત્ર વિકસાવ્યું. કોસ્ટારિકા આર્થિક રીતે કૃષિ, પ્રવાસન અને ટેકનોલોજી પર આધારિત છે. કોફી, બનાના અને અનાનસ અહીંના મુખ્ય કૃષિ ઉત્પાદન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ટેકનોલોજી અને ઇકો-ટુરિઝમમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગૃહ યુદ્ધ બાદ મહત્વના સુધારા થયાવિશ્વભરના પ્રવાસના શોખીનોને જેનું આકર્ષણ છે એ કોસ્ટારિકામાં 1948માં એક નાગરિક યુદ્ધ થયું. જે માત્ર 44 દિવસ ચાલ્યું. આ યુદ્ધ બાદ, Jos Figueres Ferrer ના નેતૃત્વમાં દેશે મહત્વપૂર્ણ સુધારા કર્યા. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો સેનાનું સંપૂર્ણ ઉન્મૂલન. જે વિશ્વમાં એક અનોખું પગલું હતું. સેના અને સંરક્ષણ વગર પણ જે દેશ અત્યંત આનંદમય રહે છે એ કોસ્ટારિકાની સંસ્કૃતિ પર સ્પેનિશ પરંપરાનો પ્રભાવ જોવા મળે છે. પરંપરાગત ખોરાકમાં ગાયો પિન્ટો (ચોખા અને કાળા વટાણા)ને ખૂબ પસંદ કરતા કોસ્ટારિકાના લોકોના લોહીમાં જ સંગીત, નૃત્ય અને ઉત્સવોને ખૂબ પસંદ કરે છે. પુરા વિદા જેનો અર્થ છે શુદ્ધ અને આનંદમય જીવન એ જીવનશૈલીને અનુસરનારા કોસ્ટારિકાના લોકો દુનિયામાં અત્યારે ફેલાયેલી અશાંતિ સામે એક નવો જ રાહ ચિંધી જાય છે!
ટેક્સટાઇલ હબ સુરતમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. આજે (16 એપ્રિલ) શહેરના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-1ના પહેલા માળે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ફાયરના જવાનો દ્વારા હાલ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને પગલે માર્કેટમાં રહેલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું છે અને વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો છે. તો સાથે વેપારીઓ પોતાનો માલ બચાવવામાં પણ લાગ્યા હતાં. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
નવસારી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી રસ્તા પહોળા કરવાની ઝુંબેશ હેઠળ 41 જેટલી આદિવાસી વસાહતો પર ડિમોલિશનની તલવાર લટકતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 'આદિવાસી જનજાગૃતિ સમિતિ'ના નેજા હેઠળ એકત્ર થયેલા પ્રચંડ માનવ મહેરામણે મનપા કચેરી સુધી વિરોધ રેલી યોજી હતી અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી વિરુદ્ધ આભ ગજવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ આંદોલને નવસારીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને ઘરની માગસમિતિએ તંત્ર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, દાયકાઓથી વસવાટ કરતા આદિવાસી પરિવારોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટી તંત્ર દ્વારા આડેધડ ઘર તોડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આંદોલનકારીઓની સ્પષ્ટ અને તાર્કિક માંગ છે કે, જો શહેરના વિકાસ માટે રસ્તા પહોળા કરવા અને ઘર તોડવા અનિવાર્ય હોય, તો નવસારી મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને કાયમી ધોરણે સંપૂર્ણ સુવિધા સાથેના વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે. મતદાન પહેલાં જ સંવેદનશીલ મુદ્દો આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી કે, જે વસાહતોમાં લોકો વર્ષોથી સ્થાયી થયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ અને આકારણી સાથે કાયદેસરના માલિકી હક એનાયત કરવામાં આવે. આગામી ચૂંટણીના સમીકરણોમાં આ સંવેદનશીલ મુદ્દો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શની માગ આ આંદોલનના મુખ્ય એજન્ડામાં વર્ષો જૂના વસવાટના સ્થાને પ્રોપર્ટી કાર્ડ અને માલિકી હકની ખાતરી, કોઈપણ પ્રકારના ડિમોલિશન પૂર્વે સુવ્યવસ્થિત પુનર્વસન, કપાત બાદ બાકી રહેલી જમીન પર ઉપરના માળના બાંધકામની કાયદેસર મંજૂરી અને ભવિષ્યમાં કોઈપણ સરકારી યોજનાના અમલીકરણ પૂર્વે સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શનો સમાવેશ થાય છે. આદિવાસી પરિવારોમાં છત્ર છીનવાઈ જવાનો ભયવહીવટી તંત્રની આકરી કાર્યવાહીને પગલે સેંકડો આદિવાસી પરિવારોમાં પોતાનું છત્ર છીનવાઈ જવાનો ભય વ્યાપ્યો છે. પરિણામે, પોતાના અસ્તિત્વ અને અધિકારોની રક્ષા માટે આદિવાસી સમાજ હવે શાસકો અને તંત્ર સામે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી કુલ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો. પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરીને કર્કશ અવાજ અને ફટાકડા જેવા અવાજ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા હતા. નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના શાંત વિસ્તારો અને જાહેર માર્ગો પર બુલેટના આવા કર્કશ અવાજને કારણે નાગરિકો અને વડીલોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલાં લીધા હતા. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.

29 C