રાજકોટ શહેરમાં સીટી બસના ચાલકોની મનમાની અને બેદરકારીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે શહેરના વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક પાસે ફરી એકવાર સીટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાછળથી પૂરઝડપે આવી રહેલી સીટી બસે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિકો અને ભોગ બનનાર નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભોગ બનનાર નાગરિકે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સીટી બસના ડ્રાઈવરો રસ્તા પર એવી રીતે બસ હંકારે છે જાણે રસ્તો તેમના બાપનો હોય. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ ચાલકોને ટ્રાફિકના નિયમોનું કોઈ ભાન નથી અને ગમે ત્યારે ગમે તે વાહનની માથે બસ ચડાવી દે છે. જો આ સમયે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? પોલીસ અને તંત્ર દ્વારા આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ પણ તેણે કરી હતી. સમગ્ર મામલે મનપાનાં અધિકારી પરેશભાઈ અઢીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કર્યા બાદ ડ્રાઇવરની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલત યોજાઈ, કુલ 88,172 કેસોનો સફળ નિકાલ કરાયો નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ જે. આર. શાહના નેતૃત્વમાં યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 22,576 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. પક્ષકારોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને કારણે મોટી સંખ્યામાં કેસોનો સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. લોક-અદાલતમાં મોટર અકસ્માત વળતરના કુલ 401 કેસોમાં રૂ. 28,81,00,214 જેટલી માતબર રકમનું સમાધાન થયું હતું. આ ઉપરાંત ચેક રિટર્નના 5,090 કેસોમાં રૂ. 27,84,25,197.4 ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જ્યારે લગ્ન વિષયક તકરારના 136 કેસોનો નિકાલ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન લોક અદાલતના 6,277 અને સ્પેશિયલ સિટિંગના 5,796 મળી કુલ 12,073 પેન્ડિંગ કેસો તેમજ 76,099 પ્રિ-લિટિગેશન કેસો મળીને કુલ 88,172 કેસોનો નિકાલ થયો હતો. સચિવ એચ. વી. જોટાણીયાએ પક્ષકારોને ભવિષ્યમાં પણ લોક-અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટના મવડી વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશન, રૂ. 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના મવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મવડી-કણકોટ રોડ પર આવેલા સરકારી સર્વે નં. 194 પૈકીની આશરે 4500 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 15 કરોડ જેટલી છે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની સૂચના અને સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. આ સ્થળે ઊભા કરવામાં આવેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ અને ઈંટોના ચણતર સહિતના દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ દબાણકારોને અગાઉ નોટિસ આપી સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રાજકોટ દક્ષિણના મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, તલાટી, વિજ કંપનીના અધિકારીઓ અને પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. રાજકોટમાં ઉનાળાની શરૂઆતે જ રાહત, આજી અને ન્યારી ડેમ એપ્રિલ સુધીમાં છલોછલ ભરાશે રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની માંગમાં વધારો થયો છે, ત્યારે શહેરના જળાશયોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. મહાપાલિકાની ગણતરી મુજબ, માર્ચ મહિનાના અંત સુધીમાં આજી-1 ડેમ અને 10 એપ્રિલ સુધીમાં ન્યારી-1 ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આજી-1 ડેમમાં હાલ 752 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને દરરોજ 18 MCFT પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જે માર્ચના અંત સુધીમાં 900 MCFT સુધી પહોંચી જશે. તેવી જ રીતે, 800 MCFT ની ક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં દરરોજ 14 MCFT પાણી ઉમેરીને 10 એપ્રિલ સુધીમાં કુલ 1000 MCFT પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. બીજી તરફ, ભાદર-1 ડેમમાં હાલ 3000 MCFT પાણીનો જથ્થો છે, જે આગામી જુલાઈ મહિના સુધી શહેરની જરૂરિયાત પૂરી કરવા માટે પર્યાપ્ત છે. આમ, ત્રણેય મુખ્ય ડેમમાં 10 જૂન સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ થઈ જશે, જેના કારણે આગામી ચૂંટણી દરમિયાન પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જોકે, ભાદર ડેમની પાઈપલાઈન બદલવાનું મહત્વનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીના NOCના અભાવે હજુ પણ અટવાયેલું છે. સરકાર અને તંત્ર દ્વારા ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાનું નેટવર્ક ચલાવતી ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે GCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે ખાસ કરીને આ ગેંગના સભ્ય પથુભા મેરૂભા ગોહિલની જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફગાવી દેવામાં આવી છે, આ અંગે ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક સંગઠિત ટોળકી સક્રિય હતી આ ટોળકી ગરીબ અને અભણ ખેડૂતોની જમીનોના બનાવટી કુલમુખત્યારનામા અને અન્ય નકલી દસ્તાવેજો તૈયાર કરતી હતી આ માટે તેઓ મૃતક નોટરીના સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા, જ્યારે કોઈ અસલી ખરીદનાર જમીનનો સોદો કરે, ત્યારે આ ટોળકી વાંધા અરજીઓ કરી અથવા ખોટા દસ્તાવેજો બતાવી કરોડો રૂપિયાની ખંડણી માંગતી હતી, ખેડૂતો અને બિલ્ડરોને ધાકધમકી આપી પરેશાન કરવામાં આવતા હતા, GCTOC હેઠળ કાર્યવાહી ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની ગંભીરતા જોતા, પોલીસ અધિક્ષક દ્વારા આ કેસમાં ગુજસીટોક (GCTOC) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જુલાઈ 2024 માં આ સંગઠિત ટોળકીના સભ્યોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ રહે.ચિત્રા, ભાવનગર, ચંદ્રકાંત પુરૂષોત્તમભાઈ સોલંકી રહે.રખિયાલ, અમદાવાદ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ખોરડી અજુભા ગોહિલ રહે.કાળીયાબીડ, રવીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ રહે.ચિત્રા, પથુભા મેરૂભા ગોહિલ રહે.શિક્ષક સોસાયટી, તથા રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ રહે.કાળીયાબીડ ધરપકડ કરી હતી, આ ટોળકીના સભ્યોએ અગાઉ સેશન્સ કોર્ટ, ગુજસીટોક કોર્ટ (રાજકોટ) અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, જે તમામ અરજીઓ નામંજૂર થઈ હતી, ત્યારબાદ આરોપી પથુભા મેરૂભા ગોહિલે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે દાદ માંગી હતી, જોકે, સુપ્રીમ કોર્ટે પણ લાંબી દલીલોના અંતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તેમની જામીન અરજી ફગાવી દીધી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા:લોકમાન્યતા મુજબ સારા ચોમાસાની આશા જાગી
ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડી પક્ષીએ ચાર ઈંડા મૂક્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં, જ્યારે વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર રહેતું પક્ષી છે અને મોટાભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં ચાર ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ, ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસાના ચાર મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં સારા ચોમાસાની આશા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત, એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. જોકે, વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનને જ મહત્વ આપવામાં આવે છે.
વડોદરા શહેરમાં એક જ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા ચકચાર મચી છે. શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈ નામના શખ્સે અસ્ત્રા વડે હુમલો કરતા 36 વર્ષીય મિતેશકુમાર રમણભાઈ વાળંદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. લોહીથી લથપથ હાલતમાં યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક મૂળ ભરૂચના માતર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ કરપીણ હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. કરિયાણાની દુકાન ચલાવતા શખ્સે યુવકને અસ્ત્રો મારીને પતાવી દીધોવડોદરા શહેરમાં જાણે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત મોડી રાત્રે પતિએ પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક જ દિવસમાં બીજી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે શહેર નજીક આવેલા સુંદરપુરા પાટિયા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. મળતી માહિતી અનુસાર, શહેર નજીક અને કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સુંદરપુરા પાટિયા પાસે જી.ઈ.બી.ની બાજુમાં આવેલા ઓરનેટ વિલા કો-ઓપરેટિવ સોસાયટી નીચેની હેર કટિંગની દુકાન પાસે આ ઘટના બની છે. કરિયાણાની દુકાન ચલાવતા કિરણભાઈએ અચાનક અસ્ત્રા વડે હુમલો કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં યુવકનું મોતઘટનાસ્થળે લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ મિતેશકુમાર રમણભાઈ વાળંદ (ઉંમર 36 વર્ષ) તરીકે થઈ છે. આરોપીએ મૃતકને અસ્ત્રા વડે મોઢા અને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોમૃતક મૂળ ભરૂચ જિલ્લાના માતરનો વતની હતો. આ હત્યાની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ હત્યા પાછળ મૂળ કરણ જાણી શકાયું નથી પરંતુ હત્યા સામાન્ય બોલાચાલીમાં થઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂકપુરાઈ પોલીસે હાલમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ આવતી કાલે કરવામાં આવશે. આ યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવ માગે કપુરાઈ પોલીસ મથકમાં PI ડી. સી. રાઓલે જણાવ્યું હતું કે, આ હત્યાના બનાવમાં આરોપીને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી સહિતની ટીમો કામે લાગી છે. આ આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે.
મહેસાણા શહેરમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતા મોટરસાયકલ ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે શુક્રવારની રાત્રિએ પુરપાટ આવતા કારચાલકે બાઈકને ટક્કર મારતા ગાંધીનગરની PDEU કોલેજમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું છે. દીકરીને પ્રવાસમાં મૂકવા પિતા એક્ટિવા પર નીકળ્યામહેસાણાના મોઢેરા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા જયેશકુમાર શાંતિભાઈ પટેલ આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના સુમારે તેમની દીકરી નમસ્વીને ઉદેપુર પ્રવાસમાં મૂકવા માટે એક્ટિવા પર જઈ રહ્યા હતા. રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્યારે તેઓ એક્ટિવા વળાવી રહ્યા હતા તે સમયે ડી-માર્ટ સર્કલ તરફથી પૂરઝડપે આવી રહેલા મોટરસાયકલ નંબર GJ 02 EH 1999 ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. મોટરસાયકલે ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયાઆ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંને રોડ પર પટકાયા હતા. બંનેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે તાત્કાલિક જયેશભાઈને લાયન્સ હોસ્પિટલ અને દીકરી નમસ્વીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ 22 વર્ષીય નમસ્વીને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં પિતા જયેશભાઈને પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજાઓ થઈ છે. જે હાલ સારવાર હેઠળ છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવઘટના બાદ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ દીકરીના મોતના સમાચારથી પરિવાર અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મિત્રો બે મોટરસાઈકલ પર શહેરમાં ફરવા નીકળ્યાતો બીજી તરફ શુક્રવારની રાત્રે અન્ય એક અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. મહેસાણાના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા અને ગાંધીનગર PDEU કોલેજમાં B.Tech ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મયંકકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના કોલેજના મિત્રો યશવીરસિંઘ (લોનાવાલા), આયુષ મરચન્ટ (નવસારી) અને રોશનસિંઘ (રાજકોટ) મહેસાણા ખાતે તેમને મળવા આવ્યા હતા. રાત્રિના સમયે તમામ મિત્રો બે મોટરસાઈકલ પર સવાર થઈ મહેસાણા શહેર ફરવા નીકળ્યા હતા. પૂરપાટ આવતી કારે આયુષના બાઈકને ટક્કર મારી હતીરાત્રિના આશરે પોણા બાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પાંચોટ સર્કલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાધનપુર રોડ પર કપિલા હનુમાન મંદિર અને રાજધાની ટાઉનશીપની સામે આ અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા આયુષ અને રોશનસિંઘના બાઈક GJ-01-YD-0304 ને સામેથી આવતી એક કાર GJ-02-DA-5573 ના ચાલકે અચાનક વળાંક લઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોશનસિંઘનું મોત નિપજ્યુંગંભીર રીતે ઘાયલ થયેલા બંને મિત્રોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રાજકોટના રહેવાસી રોશનસિંઘને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે નવસારીના આયુષ મરચન્ટને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીના મોતથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોકમહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આવી પહોંચતા લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી કોલેજના મિત્રો અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
વિકાસ અને પર્યાવરણ વચ્ચે જ્યારે પણ પસંદગી કરવાની આવે છે, ત્યારે મોટાભાગે પર્યાવરણનો ભોગ લેવામાં આવતો હોય છે. રસ્તા પહોળા કરવા હોય કે નવી સરકારી ઇમારતોનું નિર્માણ કરવું હોય, વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો પર કુહાડી ફેરવી દેવી એ સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. પરંતુ સુરતના ઉધના પોલીસ સ્ટેશને આ માન્યતાને તોડીને એક નવી રાહ ચીંધી છે. ઉધના પોલીસ સ્ટેશનના નવા મકાનના નિર્માણ આડે આવતા વર્ષો જૂના પાંચ વિશાળ વૃક્ષોને કાપવાને બદલે જાપાનીઝ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કરીને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 25 વર્ષથી વધુ જૂના પાંચ મોટા વૃક્ષો કાપી નાખવાની સૂચના આપીસુરતના ઉધના વિસ્તારમાં પોલીસ તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા નવા પોલીસ સ્ટેશનના ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન નવી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ દીવાલના નકશામાં લગભગ 25 વર્ષથી વધુ જૂના પાંચ મોટા વૃક્ષો નડતરરૂપ બની રહ્યા હતા. બાંધકામ ક્ષેત્રના પ્રોટોકોલ મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા આ વૃક્ષોને તાત્કાલિક અસરથી કાપી નાખવાની સૂચના આપવામાં આવી હતી જેથી કામમાં કોઈ રુકાવટ ન આવે. સામાન્ય સંજોગોમાં કોઈપણ સરકારી પ્રોજેક્ટમાં વૃક્ષો કાપવા માટેની મંજૂરી મેળવીને તેને દૂર કરવામાં આવતા હોય છે. પરંતુ અહીં ઉધના પોલીસની સંવેદનશીલતા જોવા મળી હતી. કુહાડીથી કાપવાને બદલે વૃક્ષને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવા કેવી રીતે?જ્યારે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે આ પાંચ વૃક્ષોને દૂર કર્યા વગર દીવાલ બનાવવી અશક્ય છે, ત્યારે ઉધના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફે એક અનોખો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે વર્ષોથી પોલીસ સ્ટેશનના આંગણે છાંયડો આપતા આ મૂંગા મિત્રોને કુહાડીથી કાપવાને બદલે તેમને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે. આ માટે તેમણે પર્યાવરણ પ્રેમીઓ અને ટેકનિકલ નિષ્ણાતોની સલાહ લીધી. જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનવૃક્ષોને બચાવવા માટે જાપાનીઝ પદ્ધતિ પસંદ કરવામાં આવી. આ પ્રક્રિયા અત્યંત જટિલ અને ખર્ચાળ હોવા છતાં, પોલીસે પર્યાવરણના હિતમાં તેને અમલમાં મૂકી.આ પદ્ધતિની વિશેષતાની વાત કરીએ તો વૃક્ષના મૂળિયાને નુકસાન ન થાય તે રીતે તેને જમીનમાંથી ખોદવામાં આવે છે. મૂળિયા કાઢ્યા પછી તેના પર ખાસ કેમિકલ્સ અને ખાતરનો છંટકાવ કરવામાં આવે છે જેથી તે નવી જગ્યાએ ઝડપથી સેટ થઈ શકે. આ પાંચેય વૃક્ષોને ક્રેનની મદદથી હટાવીને પોલીસ સ્ટેશનના જ કમ્પાઉન્ડમાં જ્યાં બાંધકામ નડતરરૂપ ન હોય તેવી નવી જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે રોપી દેવામાં આવ્યા છે. કોંક્રિટના જંગલ બની રહેલા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છેસુરત જેવા કોંક્રિટના જંગલ બની રહેલા શહેરમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ઉધના પોલીસની આ કામગીરીની સોશિયલ મીડિયામાં અને સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો એક પોલીસ સ્ટેશન પોતાની મર્યાદિત ગ્રાન્ટ અને સંસાધનોમાં વૃક્ષો બચાવી શકતું હોય, તો મોટા બિલ્ડરો અને કોર્પોરેશનના પ્રોજેક્ટ્સમાં હજારો વૃક્ષો કેમ ન બચાવી શકાય?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ફરી એક વખત ગુજરાત આવ્યા છે. મુકુલ વાસનિક બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર કરાયેલી અલગ અલગ સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બીજી વખત બેઠક કરી છે. તેમજ રાજીવ ગાંધી ભવન પર અલગ અલગ કમિટીના સભ્યો સાથે પણ ચૂંટણીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ચર્ચા કરી હતી. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. મુકુલ વાસનિક દ્વારા દરેક કમિટી સાથે બેઠકગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે. બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા મુકુલ વાસનિક દ્વારા દરેક કમિટી સાથે બેઠક કરી હતી. જેમાં કમિટીને સોંપવામાં આવેલી કામગીરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જનતાને આકર્ષવા માટે કાર્યક્રમ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દરેક કમિટીને સોંપેલી કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં તેની પણ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે બેઠકમાં સમીક્ષા કરી હતી. તેમજ મતદારને આકર્ષવા માટે શું કરી શકાય તે માટેના સૂચનો પણ કમિટીના સભ્યો પાસે માંગવામાં આવ્યા છે. 50થી ઓછી ઉંમરના ધરાવતા 50 ટકા લોકોને ટિકિટ આપવાનો નિર્ણયઅમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ સાત જેટલા સ્થળો પર દાવેદારોને નિરીક્ષક દ્વારા સાંભળવામાં આવી રહ્યા છે. 50થી ઓછી ઉંમરના ધરાવતા 50 ટકા લોકોને ટિકિટ આપવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે બિન રાજકીય લોકો કોંગ્રેસ સાથે જોડાઈને ચૂંટણી લડે તે માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર પણ ચૂંટણી લડવા ઇચ્છતા લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે. લોકોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ અમદાવાદ શહેરમાં ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેવા લોકોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ સ્થળ પોતાના વોર્ડમાં ચૂંટણી લડવા માટે નિરીક્ષક પાસે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી રહ્યા છે. સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયારત્યાર બાદ તેમણે સાંભળ્યા બાદ બાયોડેટા એકત્ર કરીને તેમનો વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી પ્રદેશ કોંગ્રેસ સંગઠનને મોકલવામાં આવશે. જેમાં સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. દાવેદારોને સાંભળીને એક પેનલ પણ તૈયાર કરવામાં આવશે. જે બાદ પ્રદેશ સંગઠન દ્વારા ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવશે. 'સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભાજપે અડ્ડો બનાવી દીધો'ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, SIRની કામગીરી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ સ્તરે સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અલગ અલગ યાત્રા કાઢીને 50 દિવસમાં 5000 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. જેમાં સરકાર સામે લોકોની નારાજગી જોવા મળી હતી. તેમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભાજપે અડ્ડો બનાવી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં સુધી કમિશન કમલમ ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. બ્રિજ અને પાણીની ટાંકી તૂટી જાય છે. તેવા સંજોગોમાં ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે અને ગેસની બોટલ માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે. ગુજરાતની કોલેજો ડ્રગ્સનો અડ્ડો બની ગઈ છે. 'ચૂંટણીની જાહેરાત બાદ તરત જ ઉમેદવારોની પસંદગી જાહેર કરાશે'વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. બધી કમિટી સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક દ્વારા મિટિંગ કરવામાં આવી હતી. જેથી તમામનો અભિપ્રાય લઈને ચૂંટણી લડીશું. મહાનગરમાં પણ બધા લોકો કોંગ્રેસ સાથે જોડાય અને QR કોડથી અરજી કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ તે લોકોને સાંભળવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. જે બાદ ચૂંટણીની જાહેરાત થયા પછી તરત જ ઉમેદવારોની પસંદગી યાદી પણ જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પંચમહાલમાં બેઠક યોજાઈ:શહેરા ખાતેના કાર્યક્રમના આયોજનની ચર્ચા થઈ
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શહેરા ખાતેના કાર્યક્રમના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ આવતીકાલે, 15 માર્ચના રોજ યોજાવાનો છે. બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી હર્ષદ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન, વ્યવસ્થાપન, સંકલન અને જવાબદારીઓના વિતરણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કાર્યક્રમને સુચારુ અને ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ અંગે સૂચનો પણ અપાયા હતા. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શહેરા ખાતેના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તત્પરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગેસ સિલિન્ડરની અછત અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ખીજડીયા હનુમાન ચોક વિસ્તારમાં યોજાયું હતું. AAPના આગેવાનો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, કમલેશભાઈ કોટેચા, માધવીબા સહિતના કાર્યકરોએ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ લારીમાં ગેસના બાટલા મૂકીને જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. મેઈન રોડ પર રેલી કાઢવામાં આવતા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે AAPના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
મોરબી જેલ બહારથી ફેંકાયેલું પોટલું ઝડપાયું:મોબાઈલ, માવા, બીડી, ચૂનો મળ્યા; ફરિયાદની તજવીજ
મોરબી સબ જેલ બહારથી જેલની અંદર ફેંકવામાં આવેલું એક પોટલું જેલ સ્ટાફની સતર્કતાને કારણે ઝડપાઈ ગયું છે. આ પોટલામાંથી એક મોબાઈલ ફોન, માવા, બીડી અને ચૂનો મળી આવ્યા હતા. જેલ સત્તાવાળાઓ દ્વારા આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબ જેલના જેલર એચ.એ. બાબરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સવારે જેલ સ્ટાફ દ્વારા જેલની બહારના ભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ પોટલું મળી આવ્યું હતું, જેને સગેવગે કરવામાં આવે તે પહેલા જ કબજે કરી લેવાયું હતું. પોટલાની તપાસ કરતા તેમાંથી લાવા કંપનીનો એક મોબાઈલ ફોન, ચાર માવાના પેકેટ, બીડીની એક જુડી અને એક ચૂનાની ટોટી મળી આવી હતી. નોંધનીય છે કે, આશરે પોણા બે મહિના પહેલા અમદાવાદથી આવેલી જડતી સ્કવોડે મોરબી સબ જેલની જડતી લીધી હતી. તે સમયે બેરેક નંબર ૩ અને ૪ વચ્ચેના જનરલ સંડાસ-બાથરૂમમાંથી સીમકાર્ડ વગરના બે કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તે બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ પીએસઆઈ સી.એમ. કરકર કરી રહ્યા છે. આ અગાઉના મોબાઈલ કોના હતા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે અંગેની વિગતો હજુ બહાર આવી નથી, ત્યાં ફરી એકવાર જેલમાં મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં ઝડપાયેલા મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. જેલ સ્ટાફની સતર્કતાને કારણે મોબાઈલ જેલમાં પહોંચાડવાનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.
પાટણ નગરપાલિકા વિસ્તારમાં ટી.પી-2 ના ફાઇનલ પ્લોટ નં. 170 ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની 'આગવી ઓળખ' ઘટક હેઠળ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ₹17.70 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ નવતર પ્રકલ્પનું વિધિવત ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી પાટણ શહેરના વિકાસમાં વધારો કરવાના હેતુથી આ ટાઉનહોલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. ખાતમુહૂર્ત વિધિમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપરાંત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન એ. પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, હર્ષભાઈ પટેલ તેમજ બાંધકામ શાખાના ચેરમેન મહેશભાઈ એમ. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાસક પક્ષના નેતા દશરથજી એસ. ઠાકોર અને અન્ય સદસ્યો પણ જોડાયા હતા.
ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વેગ આપવા માટે વાપી મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, શહેરના મુખ્ય 10 રૂટ પર 20 સિટી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં મુસાફરીનો દર ટૂંકા અંતર માટે રૂ, 5 અને લાંબા અંતર માટે મહત્તમ રૂ, 10 રાખવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ છે. વાપીમાં સતત વધતા ટ્રાફિક અને ખાનગી વાહનોના વધુ પડતા ઉપયોગ વચ્ચે આ નવી બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. રિક્ષાચાલકો દ્વારા વસૂલવામાં આવતા મનફાવે તેવા ભાડા અને કનેક્ટિવિટીના અભાવે પરેશાન થતા નોકરિયાતો અને શ્રમિક વર્ગને આનાથી મોટો ફાયદો થશે. આ બસ સેવા રેલવે સ્ટેશન, જીઆઈડીસી (GIDC) વિસ્તારો અને વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી મુસાફરોના પૈસા અને સમય બંનેની બચત થશે. વાપી મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું કે, 'વાપીના નાગરિકોને સસ્તી અને સુવિધાયુક્ત પરિવહન સેવા મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ બસ સેવા શરૂ થવાથી શહેરના આંતરિક વિસ્તારોમાં અવરજવર કરવી સરળ બનશે.'
જૂનાગઢ જિલ્લાના મેંદરડા રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના ઇજનેરના નકારાત્મક વલણ અને કથિત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવથી કંટાળીને પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું ધરી દીધું છે. પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે અધિકારીઓ દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવામાં આવે છે અને વિકાસના કામોમાં જાણીજોઈને અડચણો ઊભી કરવામાં આવે છે. જાતિવાદ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપોરાજીનામા પત્રમાં જયકિશનભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું છે કે, હું અનુસૂચિત જાતિનો ચૂંટાયેલ પ્રતિનિધિ હોવાથી મારી સાથે ભેદભાવપૂર્ણ અને દબાણભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ માત્ર મારું વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર દલિત સમાજના સ્વાભિમાન પર પ્રહાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારી સવર્ણ જ્ઞાતિના હોવાથી તેઓ અનુસૂચિત જાતિના પ્રમુખનું વર્ચસ્વ સ્વીકારી શકતા નથી અને તેમને કામ કરતા અટકાવી રહ્યા છે. ત્રણ વખત આયોજન સમિતિની બેઠક રદ કરાઈપ્રમુખે રાજીનામા માટેના મુખ્ય કારણોમાં વહીવટી તંત્રની મનસ્વીતા ગણાવી છે. જેમાં 9 સપ્ટેમ્બર, 2025ની બેઠકમાં અધિકારીઓ હાજર હોવા છતાં TDOએ મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવ્યા અને કોઈપણ ચર્ચા વગર બેઠક મુલત્વી રાખી હોવાનું ઠરાવ્યું. તા.26 ફેબ્રુઆરી-2026ની બેઠકમાં કોરમ પૂર્ણ હોવા છતાં, પંચાયત અધિનિયમની ઉપરવટ જઈને 'ઇજનેર હાજર નથી' તેવું મૌખિક બહાનું કાઢી બેઠક રદ કરવામાં આવી. 16 માર્ચ,2026ની આયોજન બેઠકમાં આગામી 16 માર્ચના રોજ નક્કી થયેલી બેઠક પણ ગઈકાલે ટેલિફોનિક જાણ કરી રદ કરી દેવામાં આવતા પ્રમુખનો ધીરજ ખૂટી ગઈ હતી. 'નામનો પ્રમુખ બની રહેવું મંજૂર નથી: પ્રમુખ'જયકિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ મને વિકાસના કામો કરવા માટે મતો આપ્યા છે. પરંતુ જો TDO અને મદદનીશ ઇજનેર સતત ફાઈલો અટકાવતા હોય અને લોકહિતના નિર્ણયો અમલમાં ન આવવા દેતા હોય, તો માત્ર ખુરશી પર બેસી રહેવાનો કોઈ અર્થ નથી. મારું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાના બદઈરાદાથી આ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ઉચ્ચ સ્તરે રજૂઆત અને તપાસની માંગઆ રાજીનામાની નકલ માત્ર જિલ્લા વિકાસ અધિકારીને જ નહીં, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંચાયત મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગ નવી દિલ્હી અને વિકાસ કમિશનરને પણ મોકલવામાં આવી છે. પ્રમુખે માંગ કરી છે કે જવાબદાર TDO અને ઇજનેર સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખી મોટા લોકશાહી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેના આ ગજગ્રાહને કારણે મેંદરડા તાલુકાના વિકાસના કામો હાલ અટકી પડ્યા છે.જેની સીધી અસર સ્થાનિક પ્રજા પર પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે. આ સમગ્ર મામલે મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આગામી 17 માર્ચના તેમનો કાર્યકાળ પૂરો થાય છે. અને જે જ્ઞાતિ ભેદભાવની વાત કરવામાં આવી છે તે મામલે હું કંઈ જાણતો નથી કારણ કે હું અહીં થોડો સમય પહેલા જો ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું.
બનાસકાંઠામાં લોક અદાલત યોજાઈ:12,049 કેસનો નિકાલ, રૂ. 26.35 કરોડનું સેટલમેન્ટ થયું
બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા 14 માર્ચ, 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં દિવાની અને ફોજદારી સહિત કુલ 12,049 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹26,35,17,723 (આશરે ₹26.35 કરોડ)નું સેટલમેન્ટ નોંધાયું હતું. આ અદાલત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ કુ. શુભદા બક્ષીના સઘન પ્રયાસોને કારણે, પ્રિ-લિટીગેશનના 4,843 કેસોનો નિકાલ શક્ય બન્યો હતો. આ કેસોમાં ટ્રાફિક ચલણ સંબંધિત 3,972 કેસોનો સમાવેશ થાય છે. પ્રિ-લિટીગેશન કેસોમાં કુલ ₹7,34,86,163નું સેટલમેન્ટ થયું હતું. આ ઉપરાંત, જિલ્લાની વિવિધ કોર્ટોમાં ચાલતા 7,206 કેસોનો પણ આ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ પૈકી, મોટર અકસ્માત વળતર (M.A.C.P.)ના 44 કેસોમાં સમાધાન દ્વારા ₹3,41,01,000નું નોંધપાત્ર સેટલમેન્ટ થયું હતું. આ રાષ્ટ્રીય લોક અદાલત બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો, વકીલો, બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ તેમજ કેસોના પક્ષકારોના સક્રિય સહયોગથી અત્યંત સફળ રહી હતી.
15 Marchના રોજ 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ' ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગ્રાહકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસ પુરવઠામાં કટોકટી સર્જાઈ છે. આ તકનો લાભ ઉઠાવીને સ્થાપિત હિતોએ જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કૃત્રિમ ભાવવધારો ઝીંકી દીધો છે, જેના કારણે કરોડો અસંગઠિત ગ્રાહકો પિસાઈ રહ્યા છે. ફરસાણ અને ચાના ભાવમાં તોતિંગ વધારોબજારમાં નફાખોરી એટલી હદે વધી છે કે ફરસાણના ભાવમાં કિલોએ Rs. 100 સુધીનો વધારો ઝીંકાયો છે. જે દાળવડા અગાઉ સસ્તા હતા, તેના ભાવ હવે Rs. 300 થી Rs. 400 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. સામાન્ય માણસની ચાના કપમાં પણ Rs. 5 થી Rs. 10નો વધારો કરીને વેપારીઓ ગ્રાહકોના ખિસ્સા હળવા કરી રહ્યા છે. ગેસ સિલિન્ડરના કાળાબજારમુકેશ પરીખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, રસોઈ ગેસના બાટલાની વ્યાપક તંગી વચ્ચે સરકાર મૂકપ્રેક્ષક બની રહી છે. 14.200 kgનો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર, જેનો સરકારી ભાવ Rs. 920 છે, તેનું કાળાબજારમાં Rs. 2000માં વેચાણ થઈ રહ્યું છે. તેવી જ રીતે, Rs. 1720ના ભાવના 19 kgના કોમર્શિયલ બાટલા Rs. 3500 થી Rs. 4000માં વેચાઈ રહ્યા છે. આટલું જ નહીં, સીલબંધ બાટલામાંથી 3 થી 4 કિલો ગેસની ચોરી પણ કરવામાં આવે છે. ફરિયાદ કરનાર ગ્રાહકોને 1000નું ઇનામકાળાબજારીયાઓને નાથવા માટે સમિતિએ 'રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન' શરૂ કર્યું છે. જે ગ્રાહક ચોક્કસ પુરાવા સાથે કાળાબજાર કરનારાઓને પકડાવશે, તેવા પ્રથમ 25 ગ્રાહકોને Rs. 1000નું ઇનામ આપવામાં આવશે. સમિતિએ માગ કરી છે કે દરેક એજન્સીએ સ્ટોક પત્રક પ્રદર્શિત કરવું અને બુકિંગના 48 કલાકમાં ફ્રી હોમ ડિલિવરી આપવી ફરજિયાત છે. સરકાર સમક્ષ કડક પગલાની માગઆ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગ્રાહક સુરક્ષા સમિતિએ માગ કરી છે કે જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગ હેઠળ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે. કાળાબજાર કરનારાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અને P.B.M. એક્ટ હેઠળ F.I.R. કરીને જેલભેગા કરવાની તંત્રને તાકીદ કરવામાં આવી છે.
દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર, આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને મહિલા પાંખે હાથમાં ગેસના બાટલા, કુકર અને તગારામાં છાણાં લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: હેમાબેન રૂપારેલિયા જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે રાંધણ ગેસના બાટલાના ભાવ ₹920 સુધી પહોંચી ગયા છે, જે ₹1000 ની નજીક છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવારથી સાંજ સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે, છતાં સત્તાધીશો ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્મૃતિ ઈરાની અને મોદી સરકાર પર આકરા પ્રહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ભૂતકાળની યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે યુપીએ સરકાર વખતે ગેસના ભાવ અત્યાર કરતા ઘણા ઓછા હતા, ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા. આજે જ્યારે ભાવ બેફામ વધ્યા છે ત્યારે સ્મૃતિજી અને મોદીજી ક્યાં છે? વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર સામાન્ય માણસની થાળીમાંથી રોટલો છીનવી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. મોંઘવારીની અસર: અન્નક્ષેત્રો અને મંદિરો પર સંકટ હેમાબેને વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર ઘર જ નહીં પરંતુ વધતી મોંઘવારી અને ગેસ-તેલના ભાવ વધારાને કારણે અન્નક્ષેત્રો, હોટલો અને મંદિરોના રસોડા પણ પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ બંધ થવાના આરે છે. જો સરકાર સત્વરે ગેસના બાટલા અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નહીં કરે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજના આ વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને ભાજપ સરકારના પૂતળા દહન જેવો માહોલ સર્જી 'હાય રે મોંઘવારી' ના નારા સાથે આખું વાતાવરણ ગજવી મૂક્યું હતું.
સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અન્વયે, પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા અને એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને સચોટ બાતમી મેળવી હતી. સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં. 90/2002, આઈ.પી.સી. કલમ 406, 114 મુજબના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ જીનેશભાઈ સુરેશભાઈ સંઘવી અને સુરેશભાઈ ડાયાલલ સંઘવીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) જીનેશભાઈ સુરેશભાઈ સંઘવી, રહે. ફ્લેટ નં. 204, એકદંત એપાર્ટમેન્ટ, આમ્બેગાવ પઠાર, પુણે, મહારાષ્ટ્ર અને (૨) સુરેશભાઈ ડાયાલલ સંઘવી, રહે. ફ્લેટ નં. 204, એકદંત એપાર્ટમેન્ટ, આમ્બેગાવ પઠાર, પુણે, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીઓનો કબજો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પીઆઈ જે.જે. જાડેજા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ જે.વાય. પઠાણ, હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયા, પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.
વલસાડ શહેરમાં ગુનેગારો સામે કાયદાનો ગાળિયો મજબૂત કરનાર સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા દસ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સચોટ દલીલો અને મજબૂત પુરાવાઓના આધારે 100 જેટલા આરોપીઓને સખત સજા અપાવવામાં સફળતા મેળવી છે. ત્રિપાઠીએ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં ગંભીર ગુનાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અત્યાચારના કેસોમાં આક્રમક વલણ અપનાવ્યું છે. તેમની કાર્યશૈલીમાં ઝીણવટભરી તપાસ, સાક્ષીઓને સુરક્ષાનો ભરોસો આપી જુબાની અપાવવી અને લાંબા સમયથી ચાલતા કેસોમાં ઝડપી ન્યાય અપાવવા માટે ડે-ટુ-ડે હિયરિંગ કરાવવાનો સમાવેશ થાય છે. આ સફળતાની સાથે એક ચિંતાજનક પાસું પણ સામે આવ્યું છે. DGP ત્રિપાઠીએ ખુલાસો કર્યો છે કે, ખાસ કરીને પોક્સો (POCSO) ના કેસોમાં આરોપીઓ હવે પીડિત પરિવારને ડરાવવા માટે નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે, જ્યારે આરોપીઓને લાગે છે કે તેઓ કાયદાકીય રીતે ફસાયા છે, ત્યારે તેઓ પીડિતોને ધમકી આપે છે કે જો કેસ પાછો નહીં ખેંચો તો તમારું અને તમારી દીકરીનું નામ છાપામાં આપીને બદનામ કરીશું. સમાજમાં બદનામીના ડરે ઘણા પરિવારો પીછેહઠ કરે છે. આવી ધમકીઓ છતાં, કાયદો પીડિતોના હિતોનું રક્ષણ કરે છે. અનિલ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને પોક્સો એક્ટની કડક જોગવાઈ મુજબ, કોઈપણ સંજોગોમાં પીડિતની ઓળખ જાહેર કરી શકાતી નથી. જો કોઈ આરોપી કે અન્ય વ્યક્તિ પીડિતનું નામ મીડિયામાં આપવાની ધમકી આપે, તો તે પણ એક ગંભીર ગુનો બને છે. સરકારી વકીલની આ કામગીરી ગુનેગારોમાં ફફડાટ પેદા કરનારી છે. પીડિત પરિવારોએ આવી ખોટી ધમકીઓથી ડરવાની જરૂર નથી, કારણ કે કાયદો તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે કટિબદ્ધ છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે.
શહેરામાં બે બાઇક અથડાઈ, વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત:ધમાઈ ગામના વૃદ્ધને સારવાર અર્થે ગોધરા સિવિલ ખસેડાયા
પંચમહાલના શહેરા તાલુકાની ધરોલા ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ધમાઈ ગામના એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધમાઈ ગામે રહેતા પટેલ ભરતસિંહ તેમના પુત્ર પ્રવિણ સાથે બાઇક પર સવાર થઈને સાપા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધરોલા ચોકડી પાસેથી પસાર થતી વખતે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ભરતસિંહ રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને ખાસ કરીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ફ્રેક્ચરની આશંકા છે. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ભરતસિંહને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
PGVCL પોરબંદર સર્કલ દ્વારા મેગા ડ્રાઈવ:25 કરોડની વસૂલાત માટે 280 ટીમો ઉતરશે મેદાનમાં
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પોરબંદર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિક્ષક ઈજનેર સી. સી. ડામોરે જણાવ્યું હતું કે, પોરબંદર સર્કલ હેઠળના ચાર ડિવિઝન – પોરબંદર સિટી, પોરબંદર રૂરલ, કેશોદ અને માંગરોળમાં ગ્રાહકો પાસેથી કુલ 25 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. આ બાકી રકમ પૈકી, 1000 રૂપિયાથી વધુનું બિલ બાકી હોય તેવા 41,818 ગ્રાહકો પાસેથી અંદાજે 14 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. જ્યારે અન્ય ગ્રાહકોની બાકી રકમ 1 થી 999 રૂપિયાની વચ્ચે છે. કોર્પોરેટ ઓફિસ અને પોરબંદર સર્કલ દ્વારા આગામી 17 તારીખે એક ‘મેગા ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું છે. PGVCL એ ગ્રાહકોને અપીલ કરી છે કે, તેઓ 17 તારીખ પહેલાં પોતાના બાકી લેણાંની ચુકવણી કરી દે. અન્યથા, પોરબંદર સર્કલની 280 જેટલી ટીમો મેગા ડિસકનેક્શન ડ્રાઈવ અંતર્ગત સ્થળ પર જઈને વીજ કનેક્શન કાપી નાખશે. આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવશે નહીં. કનેક્શન કપાયા બાદ ગ્રાહકોએ રિકનેક્શન ચાર્જ ભરીને જ ફરીથી વીજ જોડાણ મેળવવું પડશે. સરકારી કચેરીઓના બાકી બિલો અંગે પણ કોર્પોરેટ દ્વારા મળેલી સૂચના મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાએ પણ PGVCLને 1.8 કરોડ રૂપિયા ચૂકવવાની ખાતરી આપી છે. વીજ કંપનીના અધિકારીઓએ નોંધ્યું હતું કે, ઘણા ગ્રાહકો વર્ષે એકવાર બિલ ભરવા ટેવાયેલા હોય છે અથવા આળસને કારણે બિલ ભરતા નથી. હવે 5000 રૂપિયાથી વધુની બાકી રકમ ધરાવતા ગ્રાહકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમના લેણાંની કુલ રકમ 3.8 કરોડ જેટલી થાય છે.
ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં એકસાથે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં રામપરા ગ્રામપંચાયત ઓફિસથી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરીને સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પહેલથી ગામની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોજેક્ટ એલએન્ડટી જીઓસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (LT) કંપનીના સહયોગથી CSR ફંડ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગ નજીક આવેલું હોવાથી, રામપરા ગામને CSR ફંડમાંથી વિકાસના કાર્યોનો સતત લાભ મળી રહ્યો છે. ગામની ચારે તરફ, શેરીએ શેરીએ, ગલીઓમાં, ચોકમાં અને જાહેર માર્ગો ઉપર સીસીટીવી ફૂટેજ કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કાર્યક્રમ ગ્રામપંચાયત ખાતે ASP જયવીર ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PSI કે.ડી. હડિયા, RFO યોગેશ કળસરીયા, સરપંચ છનાભાઈ વાઘ, અરજણભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વાઘ, તલાટીમંત્રી અને એલ.એન્ડ.ટી. કંપનીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ચાલી રહેલા 'ઈગલ આઈ' પ્રોજેક્ટ અંતર્ગત રામપરા ગામે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ગામમાં ચોરી, ઘરફોડ જેવા ગુનાઓને શોધી કાઢવામાં અને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં જેટલા પણ ગામોમાં સીસીટીવી લાગ્યા છે તેમાં રામપરા ગામમાં સૌથી વધુ 125 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
નવસારીના લૂંસીકુઈ મેદાનમાં વ્યાવસાયિક કાર્યક્રમો પર રોક:સી.આર. પાટીલે અધિકારીઓને કડક આદેશ આપ્યા
નવસારીના લૂંસીકુઈ મેદાનમાં હવે વ્યાવસાયિક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ અંગે સંબંધિત અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. આ નિર્ણયથી મેદાનની ગરિમા જળવાશે અને તેનો ઉપયોગ ફક્ત રમતગમત પ્રવૃત્તિઓ માટે જ થઈ શકશે. લાંબા સમયથી લૂંસીકુઈ મેદાનનો ઉપયોગ રમતગમતને બદલે વ્યાવસાયિક અને કોમર્શિયલ કાર્યક્રમો માટે થતો હતો. આના કારણે મેદાનની સપાટીને નુકસાન થતું હતું અને ખેલાડીઓને પ્રેક્ટિસ માટે પૂરતી જગ્યા મળતી ન હતી. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે વ્યાપક નારાજગી હતી. આ ગંભીર મુદ્દે શહેરના વડીલ કેરસી દેબુજી અને અન્ય રમતગમત પ્રેમીઓએ એકત્રિત થઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને રૂબરૂ રજૂઆત કરી હતી. તેમણે મેદાનની વર્તમાન સ્થિતિ અને લોકલાગણી અંગે મંત્રીનું ધ્યાન દોર્યું હતું. રજૂઆત સાંભળ્યા બાદ, સી.આર. પાટીલે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મેદાનમાં બિનજરૂરી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અટકાવવા કડક સૂચના આપી. તેમણે મેદાનની યોગ્ય માવજત અને જાળવણી કરવા પણ આદેશ આપ્યા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, લૂંસીકુઈ મેદાન નવસારીની ધરોહર છે. તેનો ઉપયોગ તેના મૂળ હેતુ એટલે કે રમતગમત માટે જ થવો જોઈએ. નાગરિકોની ચિંતા વ્યાજબી છે અને તેનો ઉકેલ લાવવા તંત્રને કડક આદેશ અપાયા છે. આ નિર્ણાયક પગલાં બદલ નવસારીના નાગરિકો અને રમતગમત જગતના લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. કેરસી દેબુજી સહિતના અગ્રણીઓએ સી.આર. પાટીલનો આભાર માનતા કહ્યું કે આ નિર્ણયથી ઉગતા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે.
સુરતના દિલ્હી ગેટ સ્થિત લોર્ડ્સ પ્લાઝા ખાતે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા 'શહેરી વિકાસમાં ઉર્જા કાર્યક્ષમતા' વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સુરત મહાનગરપાલિકા અને ઈકો એનર્જી સોલ્યુશનના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનગરપાલિકાઓના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉર્જા બચત અને ટકાઉ શહેરી વિકાસ વિશે માર્ગદર્શનસેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુનિસિપલ ઓફિસરોને ઉર્જા બચતની આધુનિક ટેકનોલોજી અને ટકાઉ શહેરી વિકાસની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન BEE ના નિવૃત્ત સિનિયર એક્ઝિક્યુટિવ આર. એન. પંડ્યાએ ભારતના નેટ ઝીરો ટાર્ગેટ અને 'મિશન લાઈફ' વિશે વિસ્તૃત માહિતી આપી, પર્યાવરણ સંરક્ષણ માટે ઉર્જા બચતને સમયની માંગ ગણાવી હતી. સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી સેમિનારના વિવિધ ટેકનિકલ સત્રોમાં ઉર્જા બચતના વિવિધ પાસાઓ પર નિષ્ણાતોએ પ્રકાશ પાડ્યો હતો. કિર્લોસ્કરના જતિન શાહે મ્યુનિસિપલ વોટર પંપિંગ સિસ્ટમમાં સ્માર્ટ મોનિટરિંગ દ્વારા ઉર્જા બચતની શક્યતાઓ સમજાવી હતી, જ્યારે ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના અબ્દુલે સ્ટ્રીટ લાઈટિંગમાં LED આધારિત નવીન ઉકેલો વિશે માહિતી આપી હતી. હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે સમજઆ ઉપરાંત, ઈકો એનર્જી સાથે સંકળાયેલા મારુતિ (Grundfos) એ એનર્જી ઓડિટ અને કન્ઝર્વેશનની પ્રાયોગિક વિગતો રજૂ કરી હતી. બપોર પછીના સત્રોમાં ડો. પારુલ પટેલે હ્યુમન એનર્જી અને વોટર યોગ સંવાદ વિશે પ્રસ્તુતિ આપી હતી, જ્યારે EESL ના સુરજ કાંતે ઉદ્યોગોમાં ESCO પ્રોજેક્ટના મહત્વ વિશે સમજ આપી હતી. સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચાપાણી અને ઉર્જાના પરસ્પર સંબંધ પર ભાર મૂકતા CGWAના સૌરવ ગુપ્તાએ પાણી સંરક્ષણ અને વેસ્ટવોટર રિસાયકલિંગ દ્વારા ઉર્જા બચતની પદ્ધતિઓ સમજાવી હતી. ડિજિટાઈઝેશનના મહત્વને સમજાવતા સિમકોન ઓટોમેશન દ્વારા સરકારી સેવાઓમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે માહિતીઅંતમાં, મિન્દ્રા ગ્રીન દ્વારા જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત તથા કે.પી. એનર્જી દ્વારા હાઈબ્રિડ અને ગ્રીન એનર્જીના વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓને પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ શહેરી માળખું તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરી હવે નવી વાત નથી. તાજેતરમાં નદીના પાણીમાં એક મગર મૃત અવસ્થામાં પડેલો હોવાની માહિતી મળતાં વન વિભાગે તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની મદદ માગી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મુક્યોવિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર જોવા મળતા હોય છે. ત્યારે નદીમાં ઉતરવું કોઈપણ વ્યક્તિ માટે જીવને જોખમ સમાન બની શકે છે. ત્યારે આજે ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે જોખમી પરિસ્થિતિ વચ્ચે પોતાની કામગીરીની પણ અગ્નિ પરીક્ષા જેવા મળી હતી. નદીના ઊંડા અને જોખમી ભાગમાં પડેલા મગરને બહાર કાઢવા માટે ફાયર વિભાગના બે જવાનોએ જીવની પરવા કર્યા વિના નદીમાં ઉતરીને ઓપરેશન હાથ ધર્યું હતું. મગરના મૃતદેહને વન વિભાગને સોંપાયોઆ કામગીરીમાં માનસિંગ સોલંકી અને ગણેશ નિઝામા નામના બંને જવાનોએ પોતાની બહાદુરીનો પરિચય આપ્યો હતો. બંનેએ ભારે જહેમત ઉઠાવીને મગરને સુરક્ષિત રીતે નદી કાંઠે લાવ્યા હતાં. રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ મગરને આગળની તપાસ માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યોઃ અધિકારીઆ અંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કરણરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે વિશ્વામિત્રી નદીમાં મૃત મગર દેખાતા અમારી ટીમ ત્યાં પહોંચી હતી. અહીંયાથી ડિકમ્પોઝ હાલતમાં સાડા ચાર ફૂટનો મગર મળી આવ્યો છે. હાલમાં વન વિભાગની પ્રોસિજર મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હવે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ‘ક્લસ્ટર બેઝ્ડ’ અભિગમ અપનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 500 ગામોને પસંદ કરી તેમને ‘પ્રાકૃતિક કૃષિ ગ્રામ’ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તાલીમથી લઈને ટેકનિકલ સહાય સુધીનું આયોજનપસંદ કરવામાં આવેલા 500 ગામોમાં જ્યાં પ્રાકૃતિક ખેતીની મહત્તમ શક્યતાઓ છે, ત્યાં તબક્કાવાર સમગ્ર વિસ્તારને રસાયણમુક્ત ખેતી હેઠળ આવરી લેવાશે. આ ગામોના ખેડૂતોને માત્ર મૌખિક સલાહ જ નહીં, પરંતુ પાયાના સ્તરે જઈને વિશેષ તાલીમ, માર્ગદર્શન અને જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. સર્ટિફિકેશન અને બજાર વ્યવસ્થા પર ભારખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ મળે તે માટે સર્ટિફિકેશનની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુલભ બનાવવામાં આવશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ક્લસ્ટરોને સીધા જ બજાર સાથે સાંકળવામાં આવશે. જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઘટશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. સામૂહિક ખેતીથી ખર્ચમાં ઘટાડો અને નફામાં વૃદ્ધિમંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ખેડૂતો વ્યક્તિગત રીતે ખેતી કરવાને બદલે ક્લસ્ટર એટલે કે જૂથમાં પ્રાકૃતિક ખેતી અપનાવશે, ત્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. સામૂહિક શક્તિના કારણે ખેડૂતો બજારમાં વધુ સારી રીતે રજૂઆત કરી શકશે અને વધુ નફો મેળવી શકશે. આ નિર્ણયથી પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને શુદ્ધ આહાર પણ પ્રાપ્ત થશે.
પંચમહાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેસોની સમીક્ષા:કલેક્ટર અજય દહિયાએ કમિટી સભ્યો સાથે બેઠક યોજી
પંચમહાલ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-2020 હેઠળના કેસોના ઝડપી નિકાલ માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે કમિટીના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, એક્ટ હેઠળ જિલ્લામાં રજૂ થયેલા વિવિધ કેસોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના સભ્યો સાથે જમીન કબજા સંબંધિત રજૂઆતો, ફરિયાદો અને કાયદાકીય મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. રજૂ થયેલા કેસોમાં પ્રાથમિક વિગતો, દસ્તાવેજી આધાર, સંબંધિત પક્ષોની સ્થિતિ તેમજ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સરકારી, જાહેર કે ખાનગી મિલકતો પરના ગેરકાયદેસર કબજાના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, જમીન કબજા જેવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે. આવા કેસોમાં કાયદાની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-2020નો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરવાના બનાવોને રોકવાનો અને વાજબી હકોનું સંરક્ષણ કરવાનો છે. તેથી, આવા કેસોના નિકાલમાં પારદર્શિતા, કાયદાકીય ચોકસાઈ અને સમયબદ્ધતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. બેઠકમાં કમિટીના સભ્યો દ્વારા પણ વિવિધ કેસોને લગતા મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક કેસની સ્થિતિને આધારે ચર્ચા-વિચારણા બાદ સંબંધિત જોગવાઈઓ મુજબ નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સ્તરે આ પ્રકારની બેઠકો દ્વારા પ્રકરણોની સતત સમીક્ષા થતી રહે છે, જેથી કોઈ કેસ બિનજરૂરી રીતે લાંબા સમય સુધી બાકી ન રહે. આ બેઠક દર્શાવે છે કે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર જમીન કબજાના પ્રશ્નોને ગંભીરતાથી લઈને કાયદેસરની પ્રક્રિયા દ્વારા તેનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે. આનાથી અરજદારોને ન્યાય મળે અને જમીન સંબંધિત ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ લાવવામાં મદદ મળે તેવી અપેક્ષા છે.
કોડીનાર-ધારી રોડ પર બે બાઇક અથડાયા:રોણાજ નજીક અકસ્માતમાં ત્રણ ઘાયલ, બેની હાલત ગંભીર
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનાર-ધારી રોડ પર રોણાજ ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોડીનાર-ધારી માર્ગ પર સાંજના સમયે બંને બાઇક સામસામે અથડાયા હતા. આ અથડામણ એટલી તીવ્ર હતી કે બાઇક ચાલકો અને પાછળ બેઠેલા વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોને મદદ કરી અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની રાણા વાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમની સ્થિતિ ચિંતાજનક હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં બન્યો અને કોણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
સુરત શહેર આજે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં આયોજિત પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન અને સુરત રેન્જના પાંચ જિલ્લાઓના ટોચના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2024 અને 2025ના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવાનો હતો. DGP ડો. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા એ હવે પ્રાથમિકતા રહેશે. પોલીસ હવે જૂની પદ્ધતિઓ છોડી આધુનિક ડેટા એનાલિસિસ દ્વારા ગુનેગારો સુધી પહોંચશે. 'કાળાબજારી કરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીશું'કોન્ફરન્સ દરમિયાન DGP ડો. કે.એલ.એન. રાવનો મિજાજ અત્યંત કડક જોવા મળ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં બુટલેગરો અને કાળાબજારી કરનારા તત્વોને ચેતવણી આપી હતી કે ગુજરાત પોલીસ તેમને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. DGPએ જણાવ્યું કે, સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ પર નજર રાખવા માટે સ્પેશિયલ યુનિટ્સને સક્રિય કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, તેમના વિરુદ્ધ ગુજસીટોક અને પાસા (PASA) જેવા કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર ગુનો ઉકેલવાનો જ નહીં, પરંતુ ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો પણ છે. ગેસ સિલિન્ડર સંગ્રહખોરો વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈકસામાન્ય જનતાને સીધી અસર કરતા મુદ્દાઓ પર પણ આ કોન્ફરન્સમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજાર રોકવા માટે સુરત પોલીસ હવે વિશેષ અભિયાન ચલાવશે. DGPએ સૂચના આપી છે કે લોકો સુધી સમયસર રાંધણ ગેસ પહોંચી રહે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની જવાબદારી છે. ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કરનારા તત્વોને શોધી કાઢી તેમના પર કાયદાનો ગાળિયો કસવામાં આવશે. સુરતના તમામ પોલીસ મથકના પીઆઈ (PI) ને આ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. પોલીસ હવે ગેસ એજન્સીઓ અને સપ્લાય ચેઈન પર નજર રાખશે જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે. ગેસના વાહનોને અવરોધ વિના પહોંચાડવા પોલીસ કરશે કામગીરીગેસ સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોઝ ઝડપભેર એજન્સી સુધી પહોંચે તે માટે પોલીસ ખાસ કોરિડોર જેવી સુવિધા અથવા પ્રાથમિકતા આપશે. સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસની જરૂરિયાત વધુ હોવાથી, સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે તે માટે પીઆઈ સ્તરના અધિકારીઓને દેખરેખ રાખવા જણાવાયું છે. ગેરકાયદેસર રિફિલિંગ કે ચોરીના કિસ્સામાં તુરંત ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પગલાથી ગૃહિણીઓને ગેસ સિલિન્ડર મેળવવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા છે. રાજ્યમાં 39 પોલીસ સ્ટેશન અને નવા સેન્ટરવર્તમાન સમયમાં ડિજિટલ ફ્રોડ સૌથી મોટો પડકાર છે. DGPએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ 39 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાયબર ગુનેગારોને પકડવા માટે રાજ્ય સરકાર 'સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' વિકસાવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ એસપી (SP) અને એક આઈજી (IG) કક્ષાના અધિકારીઓ કાર્યરત રહેશે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોમાં 'રીજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' બનાવવામાં આવશે. આ કેન્દ્રો માત્ર ગુના ઉકેલવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં થનારા હુમલાઓને રોકવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સાયબર ફ્રોડના 60 કરોડ રૂપિયા પીડિતોને પરત અપાયાપોલીસની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવ્યા છે. DGPએ ગર્વ સાથે જણાવ્યું કે 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 50 થી 60 કરોડ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત કરવામાં આવ્યા છે. હવે આ અભિયાનનું 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. બેંકો સાથે સંકલન સાધીને ફ્રીઝ થયેલા એકાઉન્ટ્સમાંથી રકમ મેળવી મૂળ માલિકને પહોંચાડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને ટેકનિકલ ટીમ હવે 24x7 કાર્યરત રહેશે જેથી નાણાં ટ્રાન્સફર થતાની સાથે જ તેને અટકાવી શકાય. આગામી 3 વર્ષમાં નશાના દૂષણને નેસ્તનાબૂદ કરાશેકેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત વિઝન મુજબ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. DGPએ જણાવ્યું કે જે રીતે નક્સલવાદને ખતમ કરવાની નેમ લેવાઈ છે, તે જ રીતે માદક દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવામાં આવશે. કચ્છના દરિયાકાંઠાથી લઈને સુરત અને ભરૂચ જેવા 'વલ્નરેબલ' ડિસ્ટ્રિક્ટ્સ (સંવેદનશીલ જિલ્લાઓ) પર વિશેષ નજર રાખવામાં આવશે. ડ્રગ્સ પેડલર્સ અને મોટા માફિયાઓ વચ્ચેની કડી તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટને વધુ સ્ટાફ અને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવશે. સુરતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની નવી ઓફિસનશાના વ્યવસાય સામે લડવા માટે સ્પેશિયલ 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF) ને મજબૂત કરવામાં આવી છે. રાજ્યના બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સુરતમાં પણ ટૂંક સમયમાં ANTFની રીજનલ ઓફિસ શરૂ કરવામાં આવશે, જેમાં એસપી લેવલના અધિકારીઓ તૈનાત હશે. આ ફોર્સ માત્ર રાજ્યની અંદર જ નહીં પરંતુ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈન પર પણ ત્રાટકશે. યુવા પેઢીને નશાના ખપ્પરમાંથી બચાવવા માટે પોલીસ શાળાઓ અને કોલેજોની આસપાસ પણ વોચ રાખશે અને કડક પેટ્રોલિંગ કરશે. 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘટ્યોટેકનોલોજીના ઉપયોગથી પોલીસિંગને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે. DGPએ માહિતી આપી કે સુરતમાં 112 હેલ્પલાઈનનો રિસ્પોન્સ ટાઈમ ઘણો સુધર્યો છે. પહેલા જે મોબાઈલ પીસીઆર વાન ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવા માટે 20 મિનિટ લેતી હતી, તે હવે માત્ર 10-12 મિનિટમાં પહોંચી જાય છે. શહેરી વિસ્તારોમાં તો પોલીસ માત્ર 7 થી 8 મિનિટમાં મદદ માટે પહોંચી રહી છે. આ ઉપરાંત, સાયબર ક્રાઈમ અને પોલીસ મોનિટરિંગ માટે નવી એપ્લિકેશન્સ ડેવલપ કરવામાં આવી રહી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં વધારો કરશે. પોલીસ સ્વાસ્થ્ય અને ટ્રાફિકનું થશે ઓટોમેશનસુરત પોલીસ અને ખ્યાતનામ એન્જિનિયરિંગ કોલેજ SVNIT વચ્ચે 'સ્પંદન' પ્રોજેક્ટ હેઠળ સમજૂતી થઈ છે. આ પ્રોજેક્ટમાં બે મહત્વના પાસાઓ છે. પ્રથમ, પોલીસ કોન્સ્ટેબલોના સ્વાસ્થ્ય અને શારીરિક કસોટીના પેરામીટર્સ રિયલ ટાઇમમાં મોનિટર કરવા માટે એપ બનાવવી. બીજું, ટ્રાફિકના 'હોટસ્પોટ્સ' આઇડેન્ટિફાય કરી અકસ્માતો ઘટાડવા. આ એપ દ્વારા પોલીસ જવાનોની તબિયત પર નજર રાખી શકાશે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે સજ્જ રહી શકે. ટ્રાફિક રેગ્યુલેશન માટે આ એકેડેમિક ઇનપુટ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિપક્ષના આક્ષેપો પર પોલીસનો જવાબદારૂના વેપાર અને બુટલેગરો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં DGPએ જણાવ્યું કે, તમામ જાણીતા બુટલેગરો પોલીસની રડારમાં છે. છેલ્લા કેટલાક સમયમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે પોલીસ વધુ સક્રિય બની છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્ટેટ લેવલની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. જે લોકો સંગઠિત રીતે દારૂનો વેપાર કરે છે તેમના પર ગુજસીટોક જેવી કલમો લગાવી જેલ ભેગા કરવામાં આવશે. તડીપાર અને પાસાની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. POCSO કેસમાં તાત્કાલિક ડિટેક્શનના આદેશકોન્ફરન્સના અંતે સામાજિક સુરક્ષા પર ભાર મુકતા DGPએ જણાવ્યું કે, POCSO અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, ધાડ અને ઘરફોડ ચોરીમાં તાત્કાલિક ધરપકડ કરવા સૂચના અપાઈ છે. સુરત આર્થિક રાજધાની હોવાથી અહીં આર્થિક ગુનાઓ પણ વધુ બને છે, તેના માટે સ્પેશિયલ ઈકોનોમિક ઓફેન્સ વિંગને વધુ સતર્ક કરવામાં આવી છે. પોલીસ હવે માત્ર ફરિયાદ નોંધવા પૂરતી નહીં, પરંતુ ન્યાય અપાવવા સુધી પીડિતની સાથે ઉભી રહેશે.
કહેવાય છે કે, કુદરતની ગતિ ન્યારી છે, પણ ક્યારેક તે એવી ક્રૂર થપાટ મારે છે કે પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. જૂનાગઢના વાળા પરિવારમાં પણ કંઈક આવું જ બન્યું. જે ઘર દીકરાના લગ્નની ખુશીઓથી મહેકી રહ્યું હતું અને જ્યાં ઢોલ-નગારાના તાલે મહેમાનો ઝૂમી રહ્યા હતા, ત્યાં અચાનક એવી કરુણતા છવાઈ ગઈ કે આખો પરિવાર અને સમાજ હેબતાઈ ગયો. પુત્રના લગ્નની કંકોત્રી વધાવવાના શુભ મુહૂર્તે જ માતાના પ્રાણ પંખેડું ઉડી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન ગીતો વચ્ચે જ નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યોજૂનાગઢમાં જમનભાઈ કેશવભાઈ વાળાના પુત્ર જીગ્નેશના લગ્નનો રૂડો અવસર હતો. ઘરમાં મહેમાનોની ચહલપહલ હતી અને પરંપરા મુજબ લગ્ન પત્રિકા વધાવવાની વિધિ ચાલી રહી હતી. માતા નીતાબેન વાળા પોતાના વહાલા સોયા દીકરાના લગ્નના હરખમાં ગળાડૂબ હતા. તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા અને હૃદયમાં અનેક કોડ ભરીને લગ્ન ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા. 13 માર્ચની રાત્રે અંદાજે સવા અગિયાર વાગ્યાની એ ક્ષણ હતી, જ્યારે આનંદ પરાકાષ્ઠાએ હતો અને બરાબર એ જ સમયે નીતાબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યા. થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરતા માતા સમાચારથી જૂનાગઢ સ્તબ્ધનીતાબેન અચાનક બેભાન થઈને ઢળી પડતા જ લગ્ન ગીતો ગાતી મહિલાઓના કંઠ રૂંધાઈ ગયા. હસતા-રમતા ચહેરાઓ પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ દોડ્યા, પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. હાર્ટ-એટેક એટલો જોરદાર હતો કે નીતાબેનને સારવારનો મોકો પણ ન મળ્યો. જે માતા થોડીવાર પહેલા પુત્રના લગ્નની વધામણી કરી રહી હતી, તેના મૃત્યુના સમાચાર સાંભળીને આખું જૂનાગઢ સ્તબ્ધ થઈ ગયું. ખુશીનો માહોલ હતો અને અચાનક બધું જ વિખેરાઈ ગયુંઃ પતિમૃતક નીતાબેનના પતિ જમનભાઈ વાળાએ ડૂસકાં ભરતા જણાવ્યું કે, મારે ત્રણ દીકરા છે સચિન, જીગ્નેશ અને પરાગ. આજે (13 માર્ચ) જીગ્નેશના લગ્ન હતા. સમાજના રીત-રિવાજ મુજબ અમે હળીમળીને પત્રિકા વધાવતા હતા, ખુશીનો માહોલ હતો, પણ અચાનક નીતાને એટેક આવ્યો અને બધું જ વિખેરાઈ ગયું. મૃતકના સગા દીપકભાઈ વાઢેરે પણ આ કરુણતા વર્ણવતા કહ્યું કે, માની મમતા કેવી હોય એ તો આજે જોવા મળ્યું. દુખની વાત છે કે, જે બહેન દીકરાના લગ્ન ગીતો ગાવા માટે આતુર હતા, આજે એમના જ મરશિયા ગાવાનો વારો આવ્યો છે. સમાજની સમજાવટ બાદ પ્રસંગ સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી આભ ફાટી પડ્યું હોય તેવી આ પરિસ્થિતિમાં વાલ્મીકિ સમાજ પરિવારની વહારે આવ્યો છે. પુત્રના લગ્નનો રૂડો અવસર હોવાથી અને વિધિઓ અટકે નહીં તે માટે સમાજના આગેવાનો અને પટેલ દિનેશભાઈએ પરિવારને હિંમત આપી છે. પુત્ર જીગ્નેશે પણ ભારે હૈયે માતાની વિદાયના આઘાત વચ્ચે સામાજિક પરંપરા અને માતાના આશીર્વાદ સમજીને પ્રસંગને સાદગીથી પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. આવતીકાલે જીગ્નેશ અને ત્રણથી ચાર વ્યક્તિ જઈ લગ્નની વિધિઓ પૂર્ણ કરશે. હાલ સમગ્ર વાલ્મીકિ સમાજમાં આ કરુણ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. જૂનાગઢમાં ગુંજ્યા મરશિયાગઈકાલે રાત્રે જ્યાં મંગળ ગીતો ગવાતા હતા, આજે ત્યાં સ્મશાનવત શાંતિ અને ડૂસકાંનો અવાજ સંભળાઈ રહ્યો છે. લગ્નના માંડવેથી જ માતાની અંતિમયાત્રા નીકળતા પથ્થર પણ પીગળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પુત્રને પરણાવીને જે માતાએ વહુના ઓવારણા લેવાના હતા, તે માતાના જ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવતા કુદરતની આ કારમી થપાટે માનવજાતને હચમચાવી દીધી છે.
જીજ્ઞેશ મેવાણી- મનીષા વકીલ વચ્ચે ઉગ્ર દલીલો વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ અને જીગ્નેશ મેવાણી વચ્ચે ઉગ્ર દલીલો થઈ .. બાળકોમાં કુપોષણ મુદ્દે ચર્ચા શરુ કરતા મેવાણીએ કહ્યું કે એકલા પંચમહાલમાં જ 20 હજાર બાળકો કુપોષિત છે.આંકડાઓ આધારે ચર્ચે કરતા મનીષા વકીલ ઘેરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૈતર વસાવાએ પરિપત્ર રદ કરવાની માગ કરી બીજી પત્નીને સરકારી લાભ ન આપવાના સરકારી પરિપત્રનો ચૈતર વસાવાએ વિરોધ કર્યો. વસાવાએ કહ્યું આ પરિપત્રથી આદિવાસી અને મુસ્લિમ સમાજના લોકોને અન્યાય થશે..તેમણે આ પરિપત્ર રદ કરવાની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસની અછત બાદ હવે ઈન્ડક્શન -સગડીમાં વેઈટિંગ ઈઝરાયલ અમેરિકા અને ઈરાન યુદ્ધની અસરમાં ગેસની અછત બાદ હવે ઈન્ડક્શન અને સગડીમાં પણ વેઈટિંગ.. રાજકોટમાં કોલસાની સગડીમાં 15 દિવસનું, સુરતમાં ઇન્ડક્શન લેવા 10નું વેઈટિંગ છે. તો અમદાવાદમાં L.D. કોલેજમાં ચૂલા સળગાવવાની નોબત આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AIIMS હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરે કરી આત્મહત્યા રાજકોટની એઈમ્સ હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરે આત્મહત્યા કરી. રતનકુમાર મેઘવાલ નામના સ્ટુડન્ટે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી. દોઢ મહિના પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારૂ-નોનવેજની પાર્ટી મામલે સગીરનો આક્ષેપ જૂનાગઢમાં અંબાજી મંદિરના ભંડારામાં દારુ અને નોનવેજ પાર્ટીના વીડિયોમાં દેખાતા સગીરે પૂજારી સામે આક્ષેપે કર્યો... મંદિરનો પૂજારી પોતે દારુ લઈને આવ્યો હતો અને તેણે જ તેને નશામાં ધૂત કરી પરાણે વીડિયો ઉતાર્યો હતો. સગીરના મોટાભાઈએ પણ આક્ષેપ કર્યો કે 7-8 લોકો હાજર હોવા છતાં એક જ છોકરાનો વીડિયો વાઇરલ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સર્કિટ હાઉસમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યું રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરના તોડકાંડનો આજે કોંગ્રેસે વિરોધ કર્યો. સર્કિટ હાઉસમાં ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યું. તો અનિલ મકવાણા આજે શહેર ભાજપ પ્રમુખને ખુલાસો આપવા તેમના કાર્યાલય પહોંચ્યાં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારી પ્રેમલગ્ન વિવાદનું સમાધાન કે દબાણ? સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો અંત આવ્યો.. રબારી અને ચૌધરી સમાજે બેઠક કરી, જે બાદ કિંજલને તેના પરિવારને સોંપી દેવાઈ. કિંજલે પોતે મરજીથી ગઈ હોવાની પોસ્ટ પણ ડિલીટ કરી દેતા આ સમાધાન હતું કે દબાણ તે સવાલ ઉઠ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 14 વર્ષની ભત્રીજી પર કાકાએ આચર્યું દુષ્કર્મ રાજકોટમાં કાકાએ 14 વર્ષની સગીર ભત્રીજી પર પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું.. . સગીરાને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી કુકર્મ કરતો હતો. આરોપીની પત્ની રિસામણે ગઈ હોવાથી તે ભાઈ-ભાભી સાથે રહેતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોનેટ પર વૃદ્ધને બેસાડી કાર 500 મીટર દોડાવી અમદાવાદના નિકોલમાં કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર બેસાડી કાર 500 મીટર સુધો દોડાવી.. આઈટેન કારચાલકે કરેલા અકસ્માત બાદ વૃદ્ધ તેને રોકવા ગયા હતા..પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમોસમીની આગાહીથી કેસર કેરી પર જોખમ હવામાન વિભાગે 18,19 અને 20 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે.. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ 2થી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પ્રભાસ પાટણના પવિત્ર ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણને સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદના યોગેશભાઈ પટેલના પરિવારે આ મુગટ ભેટ આપ્યો છે. આ મુગટ બારીક મીનાકામ અને કલાત્મક નકશીકામથી સુશોભિત છે, જે ભગવાનના નિત્ય શૃંગારમાં ઉપયોગમાં લેવાશે. ભાલકા તીર્થ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલું અત્યંત પવિત્ર સ્થળ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ જ સ્થળે ભગવાને પારધીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને કર્મના સિદ્ધાંતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભૂમિ દેશભરના હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિવસે આ મુગટ અર્પણ કરાયો હતો. આ ચાંદીનો મુગટ તૈયાર કરવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. કારીગરોએ બારીક કારીગરી અને મીનાકામથી તેને અનોખી આકર્ષકતા આપી છે. દાતા પરિવારે ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુગટ શ્રી સોમનાથ ટ્રસ્ટને સુપરત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમારે દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ મુગટ હવે ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ શૃંગાર પ્રસંગોમાં ઉપયોગમાં લેવાશે. નવા મુગટ સાથે ભગવાનના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભાલકા તીર્થ ખાતે ભક્તિ અને આસ્થાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું.
સમગ્ર દેશમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતોમાં સમાધાનપાત્ર કેસોનો બંને પક્ષે સંતોષ થાય તેમ નિકાલ કરવામાં આવે છે. અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે લોક અદાલતમાં વાહન અકસ્માત વળતરના 1 કરોડથી વધુના વળતરના બે કેસોમાં સમાધાન થયું હતું અને એક 60 લાખ રૂપિયાના વળતરના કેસમાં સમાધાન થયું હતું. તેમજ એક કેસમાં 18.80 લાખનું વળતર ચુકવાયુ હતું. અકસ્માતના વળતર કેસમાં મૃતકના પરિવારને 1 કરોડનું વળતરપીનલકુમાર પટેલ 39 વર્ષના હતા અને અમદાવાદ સ્થિત વાઘ બકરી ટી કંપનીની મુખ્ય શાખામાં સિનિયર સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેમનો માસિક પગાર 69,499 હતો. 12 જૂન, 2024 ના રોજ બપોરે જ્યારે તેઓ તેમના સહકર્મી સાથે ટુ-વ્હીલર પર વડોદરા જઈ રહ્યા હતા, ત્યારે મંજુસર GIDC પાસે એક ટ્રકે તેમના વાહનને ટક્કર મારી હતી, જેના પરિણામે પીનલકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. કેસની ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 1.10 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી, આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબ અરજદારને ચેક એનાયત કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ, સ્ટાફ સભ્યો, વકીલો અને કાનૂની અધિકારીઓની મહેનતથી મૃતકના પરિજનોને હક્ક પ્રાપ્ત થયો છે. છ વર્ષની કાનૂની લડત બાદ મૃતકના પરિવારને 1 કરોડનું વળતરરાજેશભાઈ ગોહેલ 59 વર્ષના હતા અને બેંક ઓફ બરોડાની અમદાવાદ રિજનલ ઓફિસમાં ચીફ મેનેજર તરીકે કાર્યરત હતા. જ્યાં તેમનો માસિક પગાર 1.19 લાખ જેટલો હતો. તારીખ 2 જૂન, 2019 ના રોજ રાત્રે જ્યારે તેઓ નહેરુનગર રોડ પર માણેકબાગ BRTS સ્ટેન્ડ પાસેથી ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમનસીબ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાયલ દરમિયાન અરજદાર અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ 1.05 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબનો ચેક અરજદારને આપવામાં આવ્યો છે. 6 વર્ષ કરતા વધુ લાંબી કાનૂની લડત અને સ્ટાફ તેમજ વકીલોના પરિશ્રમ બાદ આ કેસનો ભાવુક અને સુખદ અંત આવ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને 60 લાખનું વળતર ચૂકવાયુંપ્રશાંત ઈટાલિયા 44 વર્ષના હતા, ત્યારે વ્યવસાય કરીને મહિને 38 હજાર રૂપિયા કમાતા હતા. 7 માર્ચ, 2021 ના રોજ ઉદયપુરથી અમદાવાદ તરફ મિત્રો સાથે મુસાફરી કરતી વખતે નેશનલ હાઈવે પર મોટા ચિલોડા પાસે તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને પાંસળીઓ, જમણા ખભા અને કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. કમનસીબે તેઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હતા અને ત્યારથી તેઓ પથારીવશ છે. ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 60 લાખ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને અરજદારને રકમનો ચેક સોંપવામાં આવ્યો છે. સાડા ત્રણ વર્ષ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, આ કેસનો પણ હકારાત્મક અંત આવ્યો છે. રાજકોટના આધેડનું અકસ્માતમાં મોત, ઇન્સ્યોરન્સ કંપનીએ 18 લાખનું વળતર ચૂકવ્યું 62 વર્ષીય જમનભાઈ મધાણી તારીખ 7 ઓક્ટોબર, 2025ના રોજ કાલાવડ ફાલા રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે એક વાહને તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ કાલાવડ સરકારી હોસ્પિટલમાં જમનભાઈ મધાણીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા આ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા FAR રિપોર્ટના આધારે, ટ્રાયલ દરમિયાન અરજદાર અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 18.80 લાખમાં સમાધાન થયું છે. આથી આ બાબત આજની લોક અદાલતમાં પતાવવામાં આવી છે અને તે મુજબની રકમનો ચેક અરજદારને એનાયત કરવામાં આવ્યો છે. ખૂબ ટૂંકા ગાળામાં જ આ કેસનો સુખદ અને ભાવનાત્મક અંત આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, તુષાર ચૌધરી અને ગુજરાત પ્રભારી આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ વેરાવળ બાયપાસ પાસે નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરશે. કાર્યક્રમ અનુસાર, સવારે 9:30 કલાકે નેતાઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ સવારે 10:30 કલાકે વેરાવળ બાયપાસ, નમસ્તે ચોકડી પાસે નવનિર્મિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ, કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ સાથે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ અંગે વાર્તાલાપ કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઊંજાભાઈ વંશ દ્વારા ચૂંટણીની રણનીતિ તૈયાર કરીને તેની સમીક્ષા કરવામાં આવશે. સવારે 11 કલાકે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પછી, જિલ્લાભરના કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા લોકોની જનમેદનીને સંબોધવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે ભાભીના રૂમમાંથી અજાણ્યા પુરુષનો અવાજ આવતા જાગી ગયેલી નણંદ અને મોટા બાએ તપાસ કરતા ગામનો જ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ સામા પક્ષના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી યુવતીને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે એક યુવકને પણ ઈજા પહોંચી હતી. આ મામલે યુવતીએ ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભાભીના રૂમમાંથી અજાણ્યા શખસનો અવાજ નણંદને સંભાળ્યોઆ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના નવાપરા વિસ્તારમાં રહેતી યુવતી ગત 7 માર્ચ, 2026ના રોજ રાત્રે તેના મોટા બાપુના ઘરે સુવા ગઈ હતી. રાત્રિના સમયે તેની ભાભી પોતાના રૂમમાં એકલા હતા, તે દરમિયાન યુવતી પાણી પીવા જાગતા ભાભીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાયો હતો. યુવતી અને તેના મોટા બાએ દરવાજો ખખડાવતા અંદરથી ગામનો જ શખસ મળી આવ્યો હતો. પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ચાર શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાંઆ ઘટના બાદ દેકારો થતા ઘરમાં ઘૂસેલા શખસના પક્ષના ચાર શખ્સો શેરીમાં ધસી આવ્યા હતાં. આ શખ્સોએ ગાળાગાળી કરી બા અને યુવતીને ધક્કે ચડાવ્યા હતાં. જેમાં યુવકે નામના શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવતીને જમણા હાથે ઈજા થઈ હતી. સામ-સામી મારામારીમાં યુવકને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે 112ને તેમજ 108 ફોન કરતા ટીમો દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે, અગાઉ 9 માર્ચના રોજ અરજી કરવામાં આવી હતી, પરંતુ સામા પક્ષના શખ્સો પાડોશમાં જ રહેતા હોય અને સતત ડરાવતા-ધમકાવતા હોવાથી અંતે હિંમત કરી પોલીસ મથકે યુવતીએ ચારેય વિરુદ્ધ બી.એન.એસની કલમ 115(2), 54, 352 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
LPG Cylinder Crisis : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ગેસનો સપ્લાય અસર થતા ભારતમાં રસોઈ ગેસની અછત ઉભી થવાની અફવાઓ ચાલી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જરૂર ન હોવા છતાં LPG સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી છ ટેન્કર અને એક LPG ભરેલા 22 ટેન્કર ભારત આવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે એલપીજીનો પૂરતો ભંડાર છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ટેન્કરો ભારત આવી રહ્યા છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરાના સામાજીક આગેવાન દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન અને સ્ટેડિયમમાં બિભત્સ વર્તન કરવા બદલ પોલીસ સ્ટેશમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને અમદાવાદ સ્ટેડિયમાં બિભત્સ વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી હતી. તિરંગાનું સન્માન ન કરવાના આરોપ સાથે પોલીસમાં અરજીભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે આજે વડોદરામાં કારેલીબાગ પોલીસ મથકમાં કેટલાક સામાજિક આગેવાન દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યાઆરોપ છે કે ઉજવણી દરમિયાન પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા, જ્યારે તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. સાથે ઈશાન કિશને પણ તિરંગાનું અપમાન કર્યું છે ત્યારે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. જાગૃત નગરી અને સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલે આ મામલે જણાવ્યું હતું કે, આજે અમે કારેલીબાગ પોલીસ મથકમાં આવ્યા છીયે. ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે.
ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો:MRO Xpo India 2026માં ‘સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત
નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’માં ગુજરાતના ફાળે વધુ એક સુવર્ણ સિદ્ધિ આવી છે. ભારતના ઉડ્ડયન નકશા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી (Maintenance), સમારકામ (Repair) અને ઓવરહોલ (Overhaul) એટલે કે MRO ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સરકારે કરેલા અવિરત પ્રયાસોનું આ પરિણામ છે. વ્યૂહાત્મક આયોજન અને પ્રગતિશીલ નીતિઓમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઉડ્ડયન ક્ષેત્રે અનેક નવા આયામો સર કર્યા છે. રાજ્યની પ્રગતિશીલ નીતિઓ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા આયોજનના કારણે આજે ગુજરાત સમગ્ર ભારતમાં MRO ઉદ્યોગ માટે એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. GUJSAIL અને અમદાવાદ એરપોર્ટનું મહત્વનું યોગદાનઅમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અત્યાધુનિક MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું એક સીમાચિહ્નરૂપ યોગદાન છે. આ સુવિધાને કારણે વિવિધ એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થયું છે. આ પ્રકારની માળખાગત સુવિધાઓએ ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે એરોસ્પેસ ક્ષેત્રે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવ્યું છે. રોકાણકારો અને કુશળ માનવશક્તિનું કેન્દ્રગુજરાત પાસે હાલમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને તકનીકી રીતે સજ્જ કુશળ માનવશક્તિનો વિશાળ સંગ્રહ છે. એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે નવીનતા લાવવા અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા આ એવોર્ડ દ્વારા સાબિત થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ‘ગ્લોબલ એવિએશન હબ’ તરીકે સ્થાપિત કરવાના વિઝનને વધુ વેગ આપશે.
ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક દિવાળી જેવો ઉમદા અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'ના કાર્યક્ષેત્રમાં ધરખમ વધારો કરતા સરકારે ગૌશાળા અને પાંજરાપોળની નોંધણીની સમયમર્યાદા લંબાવી દીધી છે. પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે રાજ્યની વધુ ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. શું છે આ મહત્વપૂર્ણ સુધારો?અગાઉના નિયમ મુજબ, માત્ર 31-03-2022 પહેલા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ જ આ સહાય મેળવવા માટે પાત્ર હતી. જોકે, વર્ષ 2023-24 બાદ અસ્તિત્વમાં આવેલી નવી સંસ્થાઓને આ યોજનાનો લાભ મળતો નહોતો. પશુપાલકો અને વિવિધ ટ્રસ્ટોની રજૂઆતને ધ્યાને રાખીને, હવે 30 જૂન, 2025 સુધીમાં નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આગામી નાણાકીય વર્ષ એટલે કે 01-04-2026થી અમલી બનશે. 100થી વધુ નવી સંસ્થાઓને ફાયદોનોંધણીની સમયમર્યાદામાં કરાયેલા આ ફેરફારને કારણે રાજ્યની અંદાજે 100થી વધુ નવી ગૌસેવી સંસ્થાઓ યોજનાના દાયરામાં આવશે. જેના પરિણામે અંદાજે 10 કરોડ રૂપિયાની વધારાની સહાય આ સંસ્થાઓમાં આશ્રય લેતા અબોલ પશુઓના નિભાવ માટે ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ગૌશાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પશુઓની જાળવણી વધુ સારી રીતે થઈ શકશે. 3 વર્ષમાં 1,364 કરોડની સહાયમંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022-23માં અંબાજી ખાતેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાંજરાપોળ અને ગૌશાળાને પશુ દીઠ દૈનિક 30 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, સપ્ટેમ્બર-2025 સુધીમાં રાજ્યની 1600થી વધુ સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે કુલ 1,364 કરોડ રૂપિયાની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. સેવાભાવી પ્રવૃત્તિને આર્થિક પીઠબળરાજ્ય સરકારના આ ઉદાર અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌશાળાઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને આર્થિક બળ પૂરું પાડવાનો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગૌવંશના હિતમાં ચાલતા ટ્રસ્ટોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગૌમાતાના પોષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ સરકારનો આ નિર્ણય રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનારો સાબિત થશે.
વેરાવળમાં 15 માર્ચે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે:સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક એકતા હેતુ આયોજન
વેરાવળના 60 ફૂટ રોડ પર આવેલા અટલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (સ્વિમિંગ પૂલ) ખાતે 15 માર્ચ, 2026 (રવિવાર) ના રોજ સાંજે 5 વાગ્યાથી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવાનો તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાનો છે. હિન્દુ સંમેલન સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંમેલનને સફળ બનાવવા માટે જાહેર જનતા, માતાઓ, બહેનો અને દીકરીઓને ખાસ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમણે તમામ હિન્દુઓને જાગૃત સનાતની તરીકે આ બેઠકમાં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે, બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમિતિ વતી અનિસ રાચ્છે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ફેબ્રુઆરી 2026માં સુરતના આઠવા લાઈન પોલીસ મથકે એક મહિલાએ પોતાના પતિ સહિત કેટલાક આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેને વર્ષ 2000માં 25 વર્ષની મુદતની 5 લાખની વીમા પોલિસી લીધી હતી. જેને પાકતી મુદતે રૂ. 19.87 લાખ મળવાના હતાં. ખોટી સહી કરી, લોન લઈને 17.69 લાખ ઉપાડી લીધાફરિયાદીએ નોમિનીમાં પોતાના પિતાનું નામ લખાવ્યું હતું. પરંતુ પતિએ પિતાના નામ ઉપર વ્હાઇટનર મારીને પોતાનું નામ લખી દીધું હતું. તેમજ ફરિયાદી પત્નીની ખોટી સહી પણ કરી હતી. આ વીમા પોલિસી પર લોન લીધી હતી અને રકમ ઉપાડીને કુલ 17.69 લાખ લઈ લીધા હતા. આરોપી પતિની ધરપકડજે સંદર્ભે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેને સુરતની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર પતિની મનોરોગની સારવાર ચાલુ છે. વળી પતિએ 2 લાખ રૂપિયા તેની UK સ્થિત દીકરીને મોકલ્યા હતાં. પરંતુ સુરત કોર્ટે અરજદારની જામીન અરજી ફગાવી નાખી હતી. આરોપી પતિએ હાઇકોર્ટમાં જામીન અરજી કરીઆથી આરોપી પતિએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજીની પેન્ડન્સી દરમિયાન અરજદાર પતિનું પાલતુ શ્વાન જે 14 વર્ષથી તેની સાથે હતું, તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈકોર્ટે પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી જેથી અરજદાર પતિ દ્વારા તેના અંતિમ ક્રિયા વિધિ કરવા માટે તેને હંગામી ધોરણે છોડવા હાઇકોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. હાઇકોર્ટે તેને પોલીસ જાપ્તા સાથે મંજૂરી આપી હતી. તેમજ રેગ્યુલર જામીન અરજી ઉપર આગામી સમયમાં વધુ સુનવણી રાખી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વલસાડમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા બાદ તેઓ વાંસદા તાલુકાના જામલિયા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) પહોંચ્યા હતા. અહીં તેમણે 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિદ્યાલયમાં એવી 300 દીકરીઓ અભ્યાસ કરે છે જેમણે પોતાના માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા છે. ભાજપ સરકાર દ્વારા BPL પરિવારની આવી દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા સાથે આ સંસ્થા કાર્યરત છે. પ્રદેશ અધ્યક્ષે વિદ્યાર્થિનીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને સંસ્થાના સંચાલકો સાથે શિક્ષણલક્ષી ચર્ચાઓ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તેમણે જવાબદારી સંભાળી ત્યારથી ફૂલહાર કે બુકેને બદલે પુસ્તકો સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ પુસ્તકો એકત્ર થયા છે, જે ગુજરાતના અંતરિયાળ અને ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વિતરિત કરવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષની સાથે સ્થાનિક આગેવાનો અને મંત્રીઓ પણ જોડાયા હતા. વાંસદા તાલુકાના સતીમાલી ગામે ₹1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ જણાવ્યું કે સરકારનો આ પ્રયાસ છેવાડાના માનવી સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવાનો છે. પોતાના વ્યસ્ત પ્રવાસના અંતે જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના આસ્થાના કેન્દ્ર સમાન ઉનાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચશે. અહીં તેઓ સાંજની આરતીમાં સહભાગી થશે અને માતાજીના આશીર્વાદ મેળવી આગળના જિલ્લાના પ્રવાસ માટે રવાના થશે. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ જણાવ્યું હતું કે, ‘આજે વાંસદા તાલુકાના જામલિયા ખાતે ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ નિવાસ સાથે ભણે છે એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેનું બે માંથી કોઇનો એક પેરેન્ટ્સ હોય અથવા બંને ન હોય એવા બીપીએલ પરિવાર હોય છે, એવા પણ પરિવારને શોધી-શોધીને આવા પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખીને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે વાંસદા જેવા ઊંડાણના તાલુકામાં ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસ સાથે માતબર રકમ ખર્ચીને એની નિવાસની ચિંતા કરી, એની બીજી વ્યવસ્થાની ચિંતા કરીને આ જ્યારે અહીંયા વિદ્યાલય ચાલે છે.’ ‘આનંદની વાત એ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગઈ કાલથી દક્ષિણ ગુજરાતના વલસાડના પ્રવાસે હતા. આજે વલસાડના બૂથ લેવલના કાર્યકર્તા સાથેનું સંમેલન હતું, વાર્તાલાપ હતી. ત્યાંથી એમને એમ થયું કે વાંસદાના કાર્યકર્તાઓને પણ મળવું જોઈએ અને ખાસ કરીને એમનો સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તે પહેલા પણ મંત્રી હતા, એ હર હંમેશ માટે આવી કોઈ આશ્રમશાળા હોય, ગ્રાન્ટેડ હોસ્ટેલ હોય, કોઈ વિદ્યાલય હોય એવી જગ્યા પસંદ કરીને અચાનક જાય છે ત્યાં બાળકો સાથે ભોજન લે છે, સંસ્થાના લોકો સાથે પણ મુલાકાત લે છે અને ખૂબ પ્રોત્સાહિત કરવાના એમના પ્રયત્નો હોય છે.’ ‘બાળકોને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. આનંદની વાત એ છે કે જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એ બુકેથી નહીં, ફૂલહારથી નહીં પણ બુકથી, ચોપડાથી એમનું સ્વાગત થાય એ એમના પ્રયત્ન રહ્યા છે. આજે જ એમની વાતમાં એમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11લાખથી પણ વધારે બુકો આવી છે અને એ બુકો ગુજરાતની અંદર જે આવો ગરીબ વિસ્તાર હોય એવા વિસ્તારો પસંદ કરીને વિદ્યાર્થીઓને એ બુકો આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ પ્રકારના ખૂબ સારા વિચારો સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધે એ તો પ્રયત્ન કરે જ છે પણ ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી તરફ, ગરીબમાં ગરીબ શિક્ષણથી વંચિત ન રહી જાય એને ખૂબ સારું શિક્ષણ મળે એ પણ સતત ચિંતા કરતા આવ્યા છે.’ 'આજે અહીંયાથી ડાંગના પ્રવાસે ગયા છે અને સાંજે ફરી પાછા રિટર્નમાં આ જ વાંસદા તાલુકાની અંદર લોકોનું આસ્થાનું સ્થળ દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનું આસ્થાનું સ્થળ મા ઉનાઈ માતાજીના મંદિરે સાંજે રિટર્નમાં આવવાના છે. ત્યાં આરતીનો લાભ પણ લેવાના છે અને ત્યાં ભોજન લઈ આગળના જિલ્લામાં રવાના થશે એ પ્રકારનો આજનો એમનો કાર્યક્રમ હતો. અમને પણ અમારા અધ્યક્ષ ભૂરાભાઈ, અમારા પ્રભારી શંકરભાઈ આ બધા લોકોને સાથે રહેવાનો અવસર મળ્યો. આજે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની પ્રાથમિક શાળા આ જ તાલુકાની અંદર સતીમાલીની અંદર એના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યાં પણ જવાનું થયું. ફરીવાર આ બાળકો ૩૦૦ જેટલી દીકરીઓ જે અભ્યાસ કરે છે એને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમ દ્વારા જે રીતે વાંસદાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કાળજી રાખીને એના સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ વિકાસ નહીં પણ દરેક લોકોનો વિકાસ થાય એ દિશામાં પણ કામ કર્યું છે ત્યારે હું આજે જ્યારે અચાનક જગદીશભાઈનો અહીંયા પ્રવાસ થવાના કારણે આનંદની વાત છે'
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં થયેલા બે મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા કિસ્સામાં પરિવારે આંખો અને ચામડીનું દાન કરીને દર્દીઓને નવી આશા પૂરી પાડી છે. શ્રમિક યુવાનના અંગદાનથી 4 લોકોને જીવતદાનઝારખંડના રાંચીના વતની 21 વર્ષીય રાહુલ મુંડા પાવાગઢ પાસે હાલોલમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. બ્રેઈન હેમરેજ થતા 12 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 13 માર્ચે ડોક્ટરોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા. દુઃખની આ ઘડીમાં અંગદાન ટીમની સમજાવટથી પિતા રામુભાઈએ દીકરાના અંગો દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો. રાહુલના અંગદાનથી 1 લીવર, 1 સ્વાદુપિંડ અને 2 કિડની પ્રાપ્ત થઈ છે, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડીસિટીની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે. ગીતામંદિરના પરિવારે પેશીદાન કરી નિભાવી સામાજિક જવાબદારીઅન્ય એક કિસ્સામાં, અમદાવાદના ગીતામંદિર વિસ્તારના 52 વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. કાઉન્સેલર જીતેન્દ્ર પુવાર અને પત્રકાર હિતેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ પરિવારે સામાજિક જવાબદારી સ્વીકારી જયેશભાઈની 2 આંખો અને સ્કીન (ચામડી)નું દાન કર્યું. 12 માર્ચે લેવાયેલું આ દાન દાઝેલા દર્દીઓ અને દ્રષ્ટિહીન લોકો માટે આશીર્વાદરૂપ બનશે. તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 229 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા અંગદાનથી 736 દર્દીઓને નવું જીવન મળ્યું છે. હોસ્પિટલને અત્યાર સુધી કુલ 421 કિડની, 203 લીવર, 73 હ્રદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 41 સ્કીન અને 190 આંખો મળી કુલ 989 અંગ-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આજે યોજાયેલા વિકાસ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, રમતગમત તથા મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોને આ કાર્યક્રમમાં ગતિ આપવામાં આવી. જિલ્લા પંચાયત દ્વારા રૂ.309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા છે, જેમાં ગ્રામ્ય માર્ગો અને માયનોર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 વિશ્રામ હોલ, રૂ. 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો, શિક્ષણ ક્ષેત્રે નવા વર્ગખંડો તથા આરોગ્ય સેવાઓ માટે 8 પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર અને અંકલેશ્વર એર સ્ટ્રીપ ફેઝ-2 સહિત કુલ રૂ.985 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યો દ્વારા ભરૂચ જિલ્લાના માળખાગત વિકાસને નવી ગતિ મળશે.
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંઝ ગામમાં દરોડા પાડીને એક એવા 'ડોક્ટર'ને ઝડપી પાડ્યો છે, જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડોક્ટર ધો. 10 નાપાસ હોવા છતાં એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો વડે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો. બાતમીના આધારે સચિન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યોસચિન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંઝ ગામ ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં 'આશા ક્લિનિક' નામે એક દવાખાનું ચાલી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર એક વ્યક્તિ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે સચિન પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખીને આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. ધો.10 નાપાસ 40 વર્ષીય સંજીત વિશ્વાસની ધરપકડપોલીસની તપાસમાં બહાર આવ્યું કે, આ ક્લિનિક ચલાવનાર વ્યક્તિનું નામ સંજીત નિલકોમલ વિશ્વાસ (ઉં.વ. 40) છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ધનતલાનો વતની છે. જ્યારે પોલીસે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની જરૂરી ડિગ્રીઓ માંગી, ત્યારે તે એક પણ કાગળ રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10માં પણ નાપાસ થયો છે, છતાં તે નિષ્ણાત ડોક્ટરની જેમ દર્દીઓને તપાસીને હાઈ-ડોઝ દવાઓ આપતો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળ્યાસુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ, નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહીમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરોની ટીમને સાથે રાખીને 'આશા ક્લિનિક' પર ત્રાટક્યા હતા. રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. ડિગ્રી વગર માનવ જીવન સાથે ગંભીર છેડછાડપોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, સંજીત વિશ્વાસ પાસે એલોપેથિક દવાઓ લખવા કે વાપરવા માટેનું કોઈ લાયસન્સ નહોતું. મેડિકલ ડિગ્રી વગર આ રીતે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવો એ દર્દીના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારના ભોળા લોકો ઓછી ફીના લોભમાં આવા નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવતા હોય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે. પશ્ચિમ બંગાળથી આવી સુરતમાં જમાવ્યો અડ્ડોઝડપાયેલો આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા માટપડા ગામનો વતની છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવીને વસ્યો હતો અને ભાડાની જગ્યામાં ક્લિનિક ખોલી બેઠો હતો. સુરતના આ પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે, જેમને નિશાન બનાવીને આ નકલી ડોક્ટર પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. સચિન પોલીસની કાયદેસરની કાર્યવાહીઆ મામલે સચિન પોલીસે સંજીત નિલકોમલ વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ન્યાયતંત્રમાં વર્ષો સુધી ચાલતા કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તેવા હેતુથી, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશાનુસાર આજે જૂનાગઢ ખાતે વર્ષ 2026ની પ્રથમ 'રાષ્ટ્રીય મેગા લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલતમાં હજારો પરિવારો માટે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ ફેમિલી કોર્ટ તથા તેની અંતર્ગત આવતી વંથલી, વિસાવદર અને કેશોદની ક્લસ્ટર ફેમિલી કોર્ટોમાં પારીવારિક વિવાદોના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 248 પારીવારિક કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ન્યાયાધીશ અને સ્ટાફના હકારાત્મક અભિગમને કારણે 243 કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. આ પ્રક્રિયાથી અનેક તૂટતા પરિવારો ફરી એક થયા છે અને મહિલાઓને ભરણપોષણની રકમ સમયસર મળતી થઈ છે. જૂનાગઢ જિલ્લા અદાલત ખાતે ડિસ્ટ્રિક્ટ જજ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કેસો માટે અલગ-અલગ બેન્ચો કાર્યરત કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં પીજીવીસીએલના વીજ બિલના વિવાદો, રાષ્ટ્રીયકૃત બેંકોના લેણાં, દીવાની કેસો, ફોજદારી સમાધાન પાત્ર કેસો તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક અને વાહનને લગતા કેસોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ગત વર્ષે 2100 જેટલા કેસોનો નિકાલ થયો હતો, જેની સરખામણીએ આ વર્ષે વધુ કેસોના નિકાલનો અંદાજ છે. લોક અદાલતમાં પક્ષકારોએ કોર્ટના લાંબા સ્ટેજ જેવા કે જવાબ, પુરાવા કે દલીલોની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. વધુમાં, લોક અદાલતમાં સમાધાન થતા પક્ષકારોને કોર્ટ ફી પેટે ભરેલી રકમ 100% રિફંડ મળે છે, જે પક્ષકારો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આજના આયોજનમાં એમ.એ.સી.પી. (મોટર અકસ્માત વળતર)ના 17 કેસોમાં કુલ ₹47,64,000 ની રકમના વળતરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા બાર એસોસિએશન, પોલીસ અધિક્ષક અને તેમની ટીમ, તેમજ બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. 'લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ' ની કલમ 19 હેઠળ થયેલું આ આયોજન સમાજમાં સુમેળ સ્થાપિત કરવામાં અસરકારક રહ્યું છે. વકીલો અને પક્ષકારોના પ્રતિસાદ બાદ ન્યાયતંત્ર દ્વારા આગામી લોક અદાલતોમાં પણ પક્ષકારોને સક્રિય ભાગ લેવા જણાવવામાં આવ્યું છે.
સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રવિવારે આયોજિત થનાર 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં ફસાયો છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીર સાથેના પોસ્ટરો વાઇરલ થતા જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. વિવાદ વધતા આખરે આયોજકોએ વિવાદાસ્પદ બેનરો હટાવવાની ફરજ પડી છે. ગોડસેના વંશજની હાજરીથી વિવાદની શરૂઆતસિટી લાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે 'શ્રીરામ કૃષ્ણ સેવા સમિતિ' દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત ભારત: સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન’ વિષય પરના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નથુરામ ગોડસેના વંશજ અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણ અને પોસ્ટરોમાં ગોડસેના ફોટાને કારણે શહેરમાં ચર્ચા જાગી હતી. શહેરભરમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરોઆ કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીરને 'દેશભક્ત' તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ‘જે ધરતી ગાંધી-સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?’વિવાદ વધતા જ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ધરતી ગાંધી અને સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય? તેમણે આ કાર્યક્રમને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવી તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરી હતી. વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે સવાલોઅસલમ સાયકલવાલાએ વહીવટી તંત્ર પર નિશાન સાધતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું પોલીસ અને પાલિકા તંત્રને આટલા મોટા પોસ્ટરો દેખાયા નથી? તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્ર આ મામલે જાણીજોઈને નિષ્ક્રિય રહ્યું છે. જ્યારે સામાન્ય જનતા કે ગરીબો પર કાર્યવાહી કરવાની હોય ત્યારે તંત્ર બહુ સક્રિય બને છે, તો અહીં કેમ ઢીલું વલણ અપનાવાયું? ગરીબોના લારી-ગલ્લા હટાવવામાં અગ્રેસર રહેતા તંત્રએ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું?કોંગ્રેસ નેતાએ સુરત મહાનગરપાલિકાની ઝાટકણી કાઢતા કહ્યું કે, પાલિકાનું તંત્ર ગરીબોની લારી-ગલ્લા હટાવવા માટે તો બહુ સક્રિય રીતે અગ્રેસર રહે છે, પરંતુ શહેરની મધ્યમાં લાગેલા આવા વિવાદાસ્પદ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું? તેમણે તંત્રને આ કાર્યક્રમ સામે કડક વલણ અપનાવવા અપીલ કરી હતી. ‘હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં’ચારેબાજુથી ઘેરાયા બાદ આયોજક નરેન્દ્ર સાહુએ સ્પષ્ટતા કરી છે કે, વિરોધને ધ્યાને રાખીને અમે તમામ વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો હટાવી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં અને માત્ર સનાતન મહાસંઘના સંસ્થાપક ડો. ગૌતમ ખટ્ટર જ મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે. ઉમરા પોલીસની મંજૂરી હજુ સુધી બાકીઆ વિવાદ એટલો વકરી ગયો છે કે ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના આ કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. વિવાદાસ્પદ પાસાઓ દૂર કર્યા બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે.
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પર સંતો અને હરિભક્તો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પ્રવચન આપ્યું હતું, જ્યારે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ સુખદાયી વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવને કારણે દર વર્ષે વિશ્વમાં બે કરોડ લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ દિવસ-રાતની જેમ વારાફરતી આવતા રહે છે, ત્યારે દુઃખના સમયે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખી હોવાથી તણાવમાં રહે છે અને તેને ભૂલવા માટે રાત્રે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. તણાવમુક્તિ માટે ગોળીઓની નહીં, પરંતુ ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ મેળવવા માટે મેડિસિન નહીં, મેડિટેશનની આવશ્યકતા છે. સંત પ્રેમવત્સલદાસજીએ સૌને ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજના સમયમાં લોકો સવારે ઉઠતાની સાથે અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે. તેના બદલે ભગવાનના દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો હિતાવહ છે. તેમણે વધુમાં જણાવ્યું કે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, પરંતુ પુરુષાર્થ કર્યા પછી વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. પિતા ક્યારેય પુત્રનું અહિત કરતા નથી, તેમ ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે તેવો શ્રી સ્વામિનારાયણ ભગવાન પર વિશ્વાસ રાખવાથી માનસિક તણાવમાંથી મુક્ત થઈ શકાય છે. આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ વડોદરા શહેર સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંબંધોને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈ.સ. ૧૮૧૦માં વડોદરા પધાર્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિ પ્રત્યે અત્યંત ભાવ હતો અને તેમણે હાથીની અંબાડી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના પ્રવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, જે પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.
મધ્ય-પૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં LPG અને LNGના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘરેલુ ગેસ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે વ્યવસ્થાકેન્દ્ર સરકારે 5 માર્ચ 2026ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા LPGના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેન અને પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગ LPG ઉત્પાદન માટે થાય તે માટે નિયમનકારી વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ ગેસ જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ – IOCL, BPCL અને HPCLને જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પગલાંનો મુખ્ય હેતુ ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો અવિરત જાળવી રાખવાનો છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરાયોઆ ઉપરાંત 9 માર્ચ 2026ના નોટિફિકેશન દ્વારા ઘરેલુ PNG અને વાહનો માટેના CNGને પ્રાથમિકતા-1 ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે આ ક્ષેત્રોને 100 ટકા કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો સરકારે જણાવ્યું છે કે આવનારા સમયમાં મધ્ય-પૂર્વ સિવાયના વિશ્વના અન્ય વિસ્તારોમાંથી LNGના નવા કાર્ગો ભારત પહોંચવાના હોવાથી ગેસ પુરવઠાની સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવના છે. ગુજરાત દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં હાલમાં 1073 CNG સ્ટેશનો કાર્યરત છે અને 37 લાખથી વધુ ઘરેલુ PNG ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકોને સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેસ પુરવઠાની હાલની સ્થિતિ પર ચર્ચા કરાઈતા. 13 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ પુરવઠાની પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિના પડકારો અને આગામી દિવસોમાં પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઘરેલુ LPG, PNG અને વાહનો માટેના CNGનો પુરવઠો નાગરિકોને વિના અડચણ મળી રહે તે માટે આગોતરા આયોજન અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશેઆ બેઠકમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઘરેલુ તથા કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારવા અને નવા વિસ્તારોમાં ગેસ નેટવર્કનું ઝડપી વિસ્તરણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી તેમજ રાજય મંત્રીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હોસ્ટેલો, રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને ગેસ પુરવઠો મળી રહેશેસરકારે જણાવ્યું છે કે ઘરેલુ LPG ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી તેમજ રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોને પણ જરૂરી ગેસ પુરવઠો મળી રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગ્રહખોરી અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી સાથે જ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને LPG વિતરણ એજન્સીઓ સાથે સંકલન કરીને વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવાની સૂચના આપવામાં આવી છે. LPG અને LNG આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આવતાં હોવાથી તેની સંગ્રહખોરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યક્તિ દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે શહેર વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનું અંતર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકાર અને સંબંધિત કંપનીઓએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યમાં ગેસ પુરવઠો જાળવવામાં કોઈ ખલેલ ન પડે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેનિક બુકિંગ અને સર્વરની સમસ્યાગેસ એજન્સીના સંચાલક રાકેશ શાહના જણાવ્યા અનુસાર કંપની તરફથી પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે.પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધી ગયું છે. અગાઉ જ્યાં દૈનિક 500-600 સિલિન્ડરની માંગ રહેતી હતી તેની સામે અત્યારે 1500થી વધુ લોકો ઉમટી રહ્યા છે. આ અચાનક વધેલા ધસારાને કારણે IVRS બુકિંગ સર્વર પણ ક્રેશ થઈ ગયું છે.જેનાથી ઓનલાઇન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે તેઓ પણ ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જે ખરેખર જરૂરી નથી. કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ : હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાંઘરેલું વપરાશના ગેસને પ્રાધાન્ય આપવા માટે હાલમાં કોમર્શિયલ ગેસ (વ્યાપારી વપરાશ) નું પ્રોડક્શન અને રિફિલિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સંચાલકોએ સ્વીકાર્યું છે. આ નિર્ણયને કારણે હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને મોટો ફટકો પડ્યો છે. અનેક હોટલ માલિકોને ગેસના અભાવે એકમો બંધ કરવાની નોબત આવી છે. જનતાની હાલાકી: નોટબંધી જેવો માહોલસ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, બુકિંગ માટેના ફોન નંબર છેલ્લા એક અઠવાડિયાથી લાગતા નથી. સવારના 7-8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વારો આવતો નથી. ખાસ કરીને જે પરિવારો પાસે માત્ર એક જ સિલિન્ડર છે, તેમના રસોડામાં ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે. લોકોએ આ સ્થિતિની સરખામણી નોટબંધી સમયની લાઈનો સાથે કરી છે. તંત્ર અને એજન્સીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રોહિત પ્રજાપતિ એ જણાવ્યું કે હું સવારે 9:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું.મારી મમ્મી માટે ગેસનો બાટલો લેવા માટે. અત્યારે પોણો એક થઈ ગયો છે.પણ હજી મારો નંબર આવ્યો નથી.બુકિંગ માટેનો જે ફોન નંબર છે તે છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે.એટલે મેં એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવ્યું છે.પરિસ્થિતિ એવી છે કે નોટબંધીના સમયથી શરૂ થયેલી લાઈનો હવે રસોડા સુધી ગેસના બાટલા સુધી પહોંચી ગઈ છે. પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. લોકો સવારના 7 વાગ્યાથી આ ઉનાળામાં અને ધગધગતા તડકામાં લાઈનોમાં ઉભા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી તકલીફ એવા લોકોને છે જેમની પાસે માત્ર એક જ ગેસનો બાટલો છે. તેમને સમયસર ગેસ મળતો નથી જેના કારણે જમવાનું બનાવવામાં અને રસોઈ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. રજનીકાંત ભાઈ જોષીએ જણાવ્યું કે અમે આઠ વાગ્યાના સાહેબ આવ્યા છીએ હજી નંબર આવ્યો નથી. અને આ બાટલાની લાઈન એટલી બધી છે અને પાછું કંઈક કાર્યવાહી કર્યા વગર તો આપતા નથી એટલે સમય ઘણો થઈ ગયો છે.આમાં કંઈક કારણ કે બધા કંઈક ને કંઈક કામ કરે,બધા પોતાનો ધંધો વ્યાપાર મૂકીને આવ્યા હોય એટલે થોડુંક બધાનું ધ્યાન રાખવું જોઈએ એ પ્રમાણે કંઈક કાર્યવાહી કરવી જોઈએ.
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે સ્ક્રેપમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગના બનાવને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ફાયર વિભાગને આ સ્ક્રેપમાં આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વર્કશોપ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં વહેલી સવારે આગશહેરના પ્રતાપનગર ખાતે આવેલા રેલવે યાર્ડમાં આવેલ વર્કશોપ પાસે વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ વર્કશોપ પાસે રહેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી. જેમાં પતરા, પાઇપ અને અન્ય સામાન ભરેલો હતો. આગ લાગતા અહીંયા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ ગાજરાવાડી ફાયર સ્ટેશનને કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયોફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્ક્રેપના ગોડાઉનમાં આગ પર નિયંત્રણ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. અહીંયા રહેલા ફાયરના સાધનો દ્વારા પણ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જો કે આગ એટલી વિકરાળ બની કે ફાયર વિભાગની ટીમે સત્તત પાણીનો મારો ચલાવ્યો હતો. અહીંયા સમાન વધુ હોવાથી સમય વધુ લાગ્યો હતો. ફાયર વિભાગે અઢી કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા અહીંયા રહેલા કેટલાક ઝાડને પણ નુકસાન થયું છે. સાથે સ્ક્રેપમાં રહેલ મોટા ભાગનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી આ સાથે શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે કચરામાં આગ લાગી હતી. સાથે તાંદલજા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેબલો બળી ને ખાખ થઈ ગયા હતા. સાથે જિલ્લામાં રામપુરા પાદરા પાસે ઇકો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ગુજરાતીમાં કહેવત છે કે ઊંટના અઢારે અંગ વાંકા, પરંતુ આ અઢારે વાંકા અંગ વાળું ઊંટ વડોદરા શહેરના રસ્તાઓ ઉપર ફસાઈ ગયું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રોડ વચ્ચે પાણીના વાલ્વના કાણામાં આ ઊંટનો પગ એવો ફસાયો કે તેને કાઢવામાં નાકે ફીણ આવી ગયું. સ્થાનિક રહીશો અને ઊંટના માલિકે મહામહેનતે આ ઊંટનો પગ બહાર કાઢ્યો. ત્યારે સ્થાનિકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો કે આ તો ઊંટના નહીં પરંતુ પાલિકાના અઢારે વાંકા છે. ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયુંવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી એક ઊંટલારી પસાર થઇ રહી હતી. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં જ્યાં પાણીની અછત હોય છે તેવા પ્રદેશોમાંથી અનેક લોકો ઊંટ સાથે હિજરત કરે છે. તેવો જ એક પરિવાર પસાર થઇ રહ્યો હતો દરમિયાન અચાનક રોડ ઉપર પાલિકાની લાઈન ઉપરના લોખંડના ઢાંકણાની બાજુમાં વાલ્વના હોલમાં ઊંટનો પગ ગરક થઇ ગયો હતો અને તે રોડ ઉપર જ બેસી ગયું હતું. ઊંટ કણસતું રહ્યું અને લોકો બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં નાનકડા હોલમાં ઊંટનો પગ ફસાઈ જતા તેને અસહ્ય પીડા થઇ રહી હતી અને તે કણસતું રહ્યું હતું. શરૂઆતમાં તો ઊંટના માલિકે તેનો પગ બહાર કાઢવાના પ્રયાસો કર્યા ત્યાર બાદ અન્ય લોકો પણ તેઓની મદદે આવ્યા અને મહામહેનતે ઊંટનો પગ બહાર કાઢી તેને દર્દમાંથી મુક્તિ અપાવી હતી. ઊંટને પગના ભાગે ઇજા પણ પહોંચી હતી. જો કે એક તબક્કે આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠીશહેરમાં અનેક વિસ્તારમાં રોડની વચોવચ જ આ પ્રકારના ઢાંકણા મૂકી દેવાયા છે. કેટલાક વિસ્તારોમાં તો સમારકામ બાદ તેને જો યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવે તો વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ના કારણે પણ ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ત્યારે પાલિકા દ્વારા લોકોની સુખાકારી વધારવામાં આવે તેવી પણ માગણી ઉઠી છે.
ગાંધીનગરના સુઘડમાં રહેતા સાનિધ્ય બિલ્ડરના 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાત કેસમાં જાન્યુઆરી મહિનાથી વોન્ટેડ ત્રણ આરોપીઓ નેપાળમાં આશરો લઇ રહ્યા હોવાનું ઇન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેના પગલે હવે ગાંધીનગર પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે નેપાળ પોલીસના સંલકનમાં રહી માઇક્રો પ્લાનિંગ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવાની છે. ઋષભ 25 જાન્યુઆરીએ સાઈટ પર જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતોગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી-નર્મદા કેનાલમાંથી મળ્યોદરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. ઋષભે સ્યુસાઇડ નોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું હતું કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. ઋષભના મોત બાદ ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાપોલીસ ચોપડે ફરિયાદ દાખલ થતા જ કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ, રહે.નાના ચિલોડા) ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ક્રિકેટ સટ્ટાના રૂપિયાની લેતીદેતીનું કારણ બહાર આવ્યુંબાદમાં પોલીસના હાથમાં મહિપાલસિંહ રાઠોડ આવી ગયો હતો. જેણે પોલીસ રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા સમગ્ર પ્રકરણ ક્રિકેટ સટ્ટા બેટિંગના રૂપિયાની લેતીદેતીનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલના પુત્ર મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ, ક્રિશાલ પટેલ દ્વારા સટ્ટાના 70થી 80 લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર અને સાણંદ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કલ્પેશ ઉર્ફે તલાટી જે આઇડીથી ઋષભ સટ્ટો રમતો હતો એ આઇડી પાસવર્ડ આરોપીઓ તરફથી આપવામાં આવેલું હતું. જે સટ્ટા બેટિંગ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકની પત્નીએ પતિના આપઘાત માટે જવાબદાર ન હોવાનો દાવો કર્યોજોકે ઋષભ પૈસા ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતો હોવાથી તેને માર મારી ટોર્ચર કરાયો હતો. આખરે ઋષભે કેનાલમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે ઋષભની પત્ની હેલીની પણ પૂછતાછ કરતાં પારિવારિક સંબંધોના લીધે કલ્પેશ ઉર્ફે તલાટીને તે મામા કહીને બોલાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સમક્ષ હેલીએ મામા કલ્પેશ તલાટી પતિના આપઘાત માટે જવાબદાર નહિ હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ ઋષભ પટેલ જે પૈસા સટ્ટામાં હારી ગયો હતો. એ પૈસા આગળ ચૂકવવા માટે કલ્પેશ ઉર્ફે તલાટીએ તેનું માણસા નું મકાન પણ અંદાજિત 65 લાખમાં વેચી માર્યું હતું. તેમ છતાં ઋષભ પૈસા પરત કરવાની કોઈ દરકાર કરતો નહોતો. વધુમાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ભૂતકાળમાં ઋષભ નકલી માર્કશીટ કેસમાં સંડોવાયેલો હતો. આરોપીઓ નેપાળમાં છુપાયું હોવાનું બહાર આવ્યુંજોકે આ સમગ્ર મામલે ગુનો દાખલ થતાં જ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, કલ્પેશ ઉર્ફે તલાટી અને ક્રિશાલ પટેલને પકડવા ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરની ટીમોએ ત્રણેયના આશ્રય સ્થાનો પર દરોડા પાડી પરિવાજનોની પણ પૂછતાછ હાથ ધરી હતી. પરંતુ કોઈ ફળદાયી હકીકત મળી આવી હતી. ત્યારે પોલીસે એક પછી એક કડીઓ જોડીને તપાસનો દોર ચાલુ રાખતા આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિશ્વસનીય સુત્રોએ કહ્યુ કે, આરોપીઓ નેપાળમાં નજીકના પરિચિત મારફતે આશરો મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નેપાળ વિઝા ફ્રી હોવાથી ત્રણેય ત્યાં છુપાઈને બેસી ગયા છે. જેના પગલે નેપાળ પોલીસના સંકલનમાં રહીને ત્રણેયને ઝડપી લેવા તખ્તો ગોઠવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દીધાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. આ ભરતીમાં જવાબોની એક ખાસ 'ABCD' પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી હતી. આ સાથે જ, યુવરાજસિંહ જાડેજાએ બાકરોલ દૂધ મંડળીનું 300 લીટર દૂધ નકલી હોવાનો ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવ્યા છે. આમ, એક તરફ સરકારી ભરતીમાં થતી ગેરરીતિઓ અને બીજી તરફ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના કૌભાંડોએ રાજ્યમાં ચર્ચા જગાવી છે. 1903 જગ્યાઓ માટે ભરતી ને વિવાદયુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની ભરતી (જાહેરાત ક્રમાંક COH/202425/1) પ્રક્રિયામાં ગંભીર ગડબડીઓ થઈ હોવાની શંકા છે. રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરાયા હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. સત્તાવાર મેરિટ લિસ્ટમાં નથી છતાં નિમણૂક પત્ર કેવી રીતે?જાડેજાના આક્ષેપ મુજબ સોશિયલ મીડિયામાં “શિવાનીબેન ભરતભાઈ ડાકી” નામની ઉમેદવારને સ્ટાફ નર્સ તરીકે નિમણૂક પત્ર મળ્યાની પોસ્ટ વાયરલ થઈ છે. પરંતુ સત્તાવાર મેરિટ લિસ્ટ તપાસતા આ ઉમેદવારનું નામ પસંદગી યાદીમાં જોવા મળતું નથી. ઉલટું તેઓ ડિસ્ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદીમાં હોવાનું જણાય છે. તેથી પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગનો સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન ઉભો થયો હોવાનું તેમણે જણાવ્યું છે. 'ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ હોય શકે'યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જો આ ઓર્ડર સાચો હોય તો ભરતી પ્રક્રિયામાં મોટી ગડબડ થઈ હોવાનું સાબિત થાય છે અને જો ઓર્ડર નકલી હોય તો કોઈ ગેંગ દ્વારા લાખો રૂપિયામાં નકલી નિમણૂક પત્રો બનાવવાનો રેકેટ ચાલતો હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે. 'બાકરોલ દૂધ મંડળી દૂધ પીવાલાયક નથી'બીજી તરફ જાડેજાએ દૂધમાં ભેળસેળના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમૂલ ડેરીના ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટમાં આણંદ જિલ્લાના બાકરોલ દૂધ મંડળીમાંથી લેવાયેલા કેટલાક દૂધના નમૂનાઓ ‘અસામાન્ય’ જાહેર થયા છે. રિપોર્ટ મુજબ મંડળીના 6 સભાસદોના દૂધના સેમ્પલમાં દૂધ સિવાયના અન્ય પદાર્થોની હાજરી જોવા મળી હોવાનું જણાવાયું છે. ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગજાડેજાએ આ મુદ્દે કહ્યું કે દૂધમાં આવી ભેળસેળ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ચિંતાજનક છે. તેમણે માંગ કરી કે ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ. તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર આ બંને ઘટનાઓએ રાજ્યના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ નાપાસ ઉમેદવાર પાસે નિમણૂક પત્ર પહોંચે છે તો બીજી તરફ લાખો ગ્રાહકો સુધી પહોંચતા દૂધમાં ભેળસેળ પકડાય છે. આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવી મહત્વની વ્યવસ્થાઓમાં આવી ગડબડ સામે આવતા હવે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જનતા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવા જેવું રહેશે.આક્ષેપો બાદ હવે બંને મુદ્દાઓને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે. આ પણ વાંચો1903 નર્સિંગ સ્ટાફની ભરતી શંકાના દાયરામાં:આન્સર કીમાં ક્રમિક એબીસીડીમાં જવાબ રાજ્ય સરકાર દ્વારા 9 ફેબ્રુઆરીએ લેવામાં આવેલી નર્સિગ ભરતીની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવતા જ વિવાદ સર્જાયો છે. આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે અને તપાસની માગ કરી છે. તો બીજી તરફ જીટીયુ દ્વારા આ મામલે સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે મંગાયો જવાબ માગવામાં આવ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાણવડમાં ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાયો:ગડુ ગામનો યુવાન ₹21,010ની લાઈટ સાથે ઝડપાયો
ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ ખાતે આવેલી ગૌશાળામાંથી ફ્લડ લાઈટ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગડુ ગામના એક યુવાનને ઝડપી પાડી તેની પાસેથી ₹21,010ની કિંમતની ચોરાયેલી લાઈટો કબજે કરી છે. થોડા દિવસો પહેલા રૂપામોરા ગામની ગૌશાળામાંથી આશરે ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટોની ચોરી થઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાણવડના ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાણવડ તાલુકાના ગડુ ગામના રહેવાસી અને ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા કૌશિક કિશોરભાઈ કારેણા (ઉ.વ. 26) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી ₹21,010ની કિંમતની ફ્લડ લાઈટો તેમજ ₹15,000ની કિંમતનું એક મોટરસાયકલ કબજે કર્યું હતું. આમ, કુલ ₹36,010નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયા સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અન્સારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દઈને ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્યો છે. મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતોઆરોપી સામે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચની કોર્ટે 15 સાહેદ અને 30 પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપી ફરિયાદીના ઘરે કન્સ્ટ્રક્શનના કામે ગયો હતો. જ્યાં સામે જ ફરિયાદીના સસરાનું ઘર આવેલું હતું. આરોપી બાળકીને મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતુંઆરોપી તરફે પોતે સગીર હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વળી તે સંદર્ભે શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટે તેની અસલ ઉમર જાણવા ઓસિફિકેશન ટેસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ આરોપીની ઉંમર 18 વર્ષથી વધુ, તેમજ 21 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે બાળકીની મૌલિક તપાસ કરી હતી જેમાં તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો. હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી ભરૂચ કોર્ટે કરેલી સજા યથાવત રાખીઆરોપી પાસે બાળકી હોવાનું જાણતા બાળકીની દાદીએ આરોપીને બૂમ પાડી હતી, પરંતુ તેને બાળકીને છોડી નહોતી. બાદમાં બાળકીના દાદાએ આવીને હોકારો કરતા તેણે બાળકીને છોડી હતી. આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રોસિફિકેશન શંકા રહિત કેસ સાબિત કરવામાં નિષ્ફળ્યું ગયું છે. જો કે હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી નાખતા ભરૂચની કોર્ટ દ્વારા કરાયેલ સજા યથાવત રાખી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે “કુટુંબ”ની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકારી તબીબી સારવારનો લાભ નહીં મળે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી પત્નીને તબીબી સારવારનો લાભ નહીંઆ મુદ્દે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં 2015ના નિયમોમાં સુધારો કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત સરકારમાં સેવા આપતા કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીને એકથી વધુ પત્ની હોય તો બીજી પત્નીને તબીબી સારવારનો લાભ આપવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતાચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી સેવાઓમાં આદિવાસી તેમજ મુસ્લિમ સમુદાયના હજારો કર્મચારીઓ કાર્યરત છે. આ બંને સમુદાયોમાં તેમના વ્યક્તિગત કાયદા અને સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા છે. આવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે અન્યાય થવાની શક્યતા છે. ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છેતેમણે વધુમાં કહ્યું કે, બીજી પત્નીને તબીબી લાભ નહીં મળે તો તેમના બાળકો પર પણ તેની સીધી અસર પડશે. જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના ઘણા કર્મચારીઓ હાલ નિવૃત્તિના આરે છે, ત્યારે આ પ્રકારનો પરિપત્ર તેમના માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગઆ કારણે ચૈતર વસાવાએ સરકારને આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવશે.
વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં છેવાડાના માનવી સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે ખાસ 'માઈક્રો-પ્લાનિંગ' તૈયાર કરવામાં આવ્યું છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની સૂચનાબેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી કે ઘરેલુ ગેસનો વ્યાવસાયિક હેતુ માટે ગેરકાયદેસર વપરાશ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પોલીસ અને પુરવઠા વિભાગને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવા આદેશ આપ્યા છે. ગેસ એજન્સીઓની પણ નિયમિત ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને અપાશે પ્રાથમિકતાસામાન્ય નાગરિકોની સાથે સાથે હોસ્પિટલ, શાળાઓ, હોસ્ટેલ અને સામાજિક કલ્યાણની સંસ્થાઓ જેવી અનિવાર્ય સેવાઓને ગેસ પુરવઠો મળતો રહે તે માટે તંત્ર સજ્જ છે. આ ક્ષેત્રોને વિતરણ વ્યવસ્થામાં પ્રાથમિકતા આપવામાં આવશે જેથી જનસેવા ખોરવાય નહીં. ડિજિટલ મોનિટરિંગથી રખાશે બાજ નજરતંત્ર દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. વોટ્સએપ ગ્રુપ અને દૈનિક સ્ટોક રિપોર્ટિંગ દ્વારા અધિકારીઓ અને ગેસ એજન્સીઓ વચ્ચે સીધું સંકલન સ્થાપિત કરાયું છે. આ સિસ્ટમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત દેખરેખ રાખવામાં આવશે. કલેક્ટર સુજીતકુમારે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. જો ક્યાંય પણ ગેરરીતિ જણાય તો તુરંત વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આ બેઠકમાં ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ, પોલીસ અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિતના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓનું સન્માન કરી તેમને વિદાય આપી હતી. જોકે, શાસક પક્ષના કેટલાક અને વિપક્ષના કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. વિદાય સમારોહમાં પાલિકા પ્રમુખ હિરલ પરમાર સહિતના સભ્યોને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓએ પાંચ વર્ષની વહીવટી કામગીરી દરમિયાન મળેલા સહયોગ બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 44 સભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હતા. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો અને આર્થિક સહાયથી શહેરના માળખાગત વિકાસને વેગ મળ્યો હતો, અને જનતાના પ્રશ્નોના નિકાલમાં આ બોર્ડે મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમનું સંચાલન જય રામી દ્વારા કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની 17 વર્ષની કારકિર્દીમાં પાટણ નગરપાલિકાનો અનુભવ મિશ્ર રહ્યો છે, જેમાં સારા સમયની સાથે પડકારજનક સમયનો પણ સામનો કરવો પડ્યો છે. તેમણે છેલ્લા આઠ મહિનામાં સભ્યો સાથે આત્મીયતા કેળવાઈ હોવાનું જણાવતા દેવચંદ ઉર્ફે દેવકાભાઈ અને જયેશભાઈ જેવા સભ્યોની કામગીરીની પ્રશંસા કરી હતી. ઠાકરે ખાસ નોંધ્યું હતું કે દેવકાભાઈ GEB સહિતના પ્રશ્નોમાં ત્વરિત નિરાકરણ લાવતા હતા, જ્યારે જયેશભાઈ જવાબદાર અને લાગણીશીલ કાર્યકર તરીકે 108ની ભૂમિકા ભજવતા હતા. વહીવટી પડકારો અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઘણી વખત કામ કરવામાં બિનજરૂરી અવરોધો ઊભા કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સામાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મુલતવી રાખવા કે કારોબારીમાં ફાઈલો રોકી રાખી સામાન્ય સભા સુધી ન પહોંચવા દેવા જેવા પ્રયાસો થતા હતા. આના કારણે જનતામાં એવી છાપ પડતી હતી કે પાલિકા કામ નથી કરતી અને ઘણીવાર સ્ટાફે લોકોનો રોષ પણ સહન કરવો પડતો હતો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે મંચ પર ઉપસ્થિત મેમ્બરોના સહયોગથી એક નવી સિસ્ટમ બનાવી આ પડકારોને પાર કરવામાં આવ્યા છે. નગરપાલિકાની મુદત પૂર્ણ થતા હવે આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે, જેને લઈને શહેરમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે.
દેશભરમાં રાંધણ ગેસના બાટલા માટે સર્જાયેલી લાંબી કતારો અને વધતા જતા ભાવોના વિરોધમાં આજરોજ ભાવનગર શહેરના હાર્દ સમા એવા ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આ વેળાએ પોલીસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, આપ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન 'આપ'ના કાર્યકરોએ હાથમાં બેનરો રાખ્યા હતા, જેમાં ભાજપના નેતાઓ દ્વારા ગેસનું કાળું બજાર કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે અને બીજી તરફ કાળું બજાર થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે, મોંઘવારીના વિરોધમાં કાર્યકરોએ લાકડાના બળતણનો ભારો સળગાવી પોતાનો રોષ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, કાર્યકરોનું કહેવું હતું કે ગેસના ભાવ એટલા વધી ગયા છે કે, સામાન્ય માણસે ફરી ચૂલા પર રસોઈ કરવાનો વારો આવ્યો છે, જ્યારે કાર્યકરો બળતણ સળગાવવાનો પ્રયાસ કરવા જતા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે તેમની અટકાયત કરી હતી, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના વિરાવળ સ્મશાનગૃહને ગુજરાત ગેસની નોટિસ:2030 સુધીમાં મફત ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરાશે
નવસારીના વિરાવળ ખાતે આવેલા સ્મશાનગૃહને ગુજરાત ગેસ કંપની દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં સ્મશાનગૃહને મળતો વિનામૂલ્યે ગેસ સપ્લાય તબક્કાવાર બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયને પગલે કોંગ્રેસ અને સ્મશાન ટ્રસ્ટે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ, અત્યાર સુધી સ્મશાનભૂમિના ગેસ બિલની ચુકવણી 'સેતુ' (SETU - Socio Economical Transformation Upliftment Society) સંસ્થા દ્વારા CSR હેઠળ કરવામાં આવતી હતી. હવે નવો 'ફેઝ્ડ ટ્રાન્ઝિશન પ્લાન' અમલમાં મુકાયો છે. આ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2025-26માં SETU 100% ચુકવણી કરશે. ત્યારબાદ, વર્ષ 2026 થી 2029 દરમિયાન ટ્રસ્ટનો ફાળો દર વર્ષે 25% લેખે વધતો જશે. આખરે, વર્ષ 2029-30 થી ગેસ વપરાશનો સંપૂર્ણ 100% ખર્ચ ટ્રસ્ટે પોતે ભોગવવો પડશે. વિરાવળ સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષ માલીએ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને પત્ર લખી આ મામલે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે, કંપની તરફથી મળેલી નોટિસ માનવતાની અંતિમ સેવાને અડચણરૂપ બની રહી છે. માલીએ વધુમાં જણાવ્યું કે, મધ્યમ અને ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે અગ્નિસંસ્કારની સેવા આશીર્વાદરૂપ છે, જે સરકારના સહયોગથી ચાલુ રહેવી જોઈએ. નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, જો આ સબસિડી બંધ થશે, તો આગામી સમયમાં એક મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ અંદાજે ₹5000 સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માણસની કમર તોડી નાખશે. સ્મશાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, જો ગેસ મોંઘો થશે તો તેની સીધી અસર પર્યાવરણ પર પડશે. ગેસ મોંઘો થતા લોકો ફરીથી પરંપરાગત લાકડા તરફ વળશે, જેનાથી વૃક્ષોનું નિકંદન નીકળશે. નવસારી અને આસપાસના 30 ગામોના લોકો આ સ્મશાનગૃહનો ઉપયોગ કરે છે. રોજના 15 થી 18 અંતિમ સંસ્કાર ગેસ પર થાય છે, જે હવે ખર્ચાળ બનશે અને ગરીબ પરિવારોને મોટો ફટકો પડશે. જૂનો અનુભવ: 2015-16માં જ્યારે ગેસ સશુલ્ક હતો ત્યારે એક બોડી દીઠ ₹1500 થી ₹1800 ખર્ચ થતો હતો, જે વર્તમાન ભાવ મુજબ અનેકગણો વધી શકે છે. સ્મશાન ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓએ સરકાર અને ગુજરાત ગેસ કંપનીને આ સંવેદનશીલ મુદ્દે પુનઃવિચારણા કરવા અપીલ કરી છે. આ મામલે નવસારી શહેરના કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટે જણાવ્યું કે, હમણાં જાણવા મળતી માહિતી મુજબ આ સરકાર હાલમાં ગેસની સમસ્યાથી તો લોકો પીડાય છે, રાંધણ ગેસ અને ઘરેલું ગેસ તેમજ કોમર્શિયલ ગેસમાં તો લોકો આંદોલન પર ઉતર્યા છે. પણ હમણાં મને જાણવા મળ્યું છે તે મુજબ આવનારા સમયમાં જે આ સ્મશાનગૃહોને ગેસ સપ્લાય થાય છે અને CSR માં જે સરકાર તરફથી સબસીડી મળતી હતી, તે સબસીડી આવનારા સમયમાં કેન્સલ થાય એવું લાગે છે. જેને લઈને મોંઘવારીમાં લોકોનું આ સરકારે જીવવાનું તો દુષ્કર બનાવ્યું છે, પણ મરણ પણ મોંઘું થવાનું છે અને મૃતકના પરિવારજનોને એક મૃતદેહ બાળવા માટેના લગભગ પાંચેક હજારનો ખર્ચો આગામી સમયમાં આવશે એવું મને લાગી રહ્યું છે ત્યારે સરકારની આ પ્રકારની નીતિનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. નવસારી શહેરને અડીને આવેલી વિરાવળ સ્મશાન ભૂમિના ટ્રસ્ટી શૈલેષ માલી જણાવે છે કે, નવસારી સ્મશાનભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ. વર્ષોથી વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા આપતી એક સંસ્થા નવસારીમાં એક આખું સેવાનું પ્રદાન કરી રહી છે. હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા અમને એક નોટિસ પાઠવવામાં આવી કે આપને જે આપવામાં આવતો વિનામૂલ્યે ગેસ સમયાંતરે 2030 સુધીમાં અમે એને સદંતર બંધ કરી દઈશું અને તમારે એને માટેની જે પણ મૂલ્ય થશે જે પણ વેલ્યુ થશે એ પૂરેપૂરી તમારે ભરપાઈ કરવી પડશે. શૈલેષ માલીએ વધુમાં જણાવ્યું કે, સરકાર અને કંપનીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની ડબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમનામાં એને જીરવી શકતો હોય તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ બાબતે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો જે વિનામૂલ્યે ગેસ જે કંપનીઓ અમને આપી રહી છે એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપને સૌ સરકાર, પરિવાર, સંસ્થા આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એ એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે. કદાચ માની લો કે કદાચ કંપની અને સરકાર આ બાબતે ગંભીરતા ન દાખવે તો જ્યારે પરિવાર પર આવી એક પૈસા ચૂકવીને અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવશે તો એ ઘણો વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે જે તે સમયે પણ અમે જ્યારે 2015-16 માં જ્યારે ગેસ બિલ ભરતા હતા ત્યારે જે તે સમયના ભાવ પ્રમાણે હું ગણું તો એક બોડી પાછળ 1500થી 1800 રૂપિયાનો ગેસ એક બોડી પાછળ વપરાતો હતો અને આજના સમયમાં આજની કંપનીનો શું ભાવ છે એનાથી હું અજાણ છું પણ છતાં પણ જો એવો જો કોઈક બોજો આવી પડે તો એ પરિવાર ઉપર જે આવી પડેલું દુઃખ છે એ સહન કરવા માટે આપણે સહભાગી તો ન બનીએ પણ એ બિચારો એ જે ખર્ચ છે એ ખર્ચને કમ્પલસરી ભરવા માટે એ સક્ષમ ન બની શકે. અને સંસ્થા અમારી સંસ્થા એવી છે કે અમારી સંસ્થાનું બંધારણ એવું કહે છે કે અમારે વિનામૂલ્યે આ સેવા આપવાની છે પણ આ તો કંપની અને સરકાર જો આ બાબતે અમારા પર દબાણ લાવે તો અમારે બી અમારે ચોક્કસપણે આ બાબતે વિચારવું રહ્યું કે બંધારણમાં પણ ફેરફાર કરવાનો અમારી એક ફરજ બની જશે. શૈલેષ માલીએ વધુમાં કહ્યું કે, સામાન્ય માણસ જે આજે ગરીબ પરિવારો જે અહીં અગ્નિ સંસ્કારનો લાભ લે છે અમારા નવસારી શહેરની આજુબાજુના હું માનીશ તો 25થી 30 એવા ગામડાઓ છે કે જે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને અહીંની જે સગવડોનો લાભ લે છે અને એવરેજ હું તમને જણાવીશ તો નવસારી શહેરમાં 15થી 18 બોડી આ સંસ્થા એવરેજ અગ્નિ સંસ્કારનું એક સુપેરે આયોજન જે અમે મૂક્યું છે એનો લાભ લોકો લે છે અને અમારા સૌની ટ્રસ્ટીગણોની અમારી સંસ્થાની બી એવી લાગણી છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી નોંધ લે અને આવનારા દિવસો જ્યારે પર્યાવરણ માટે બી જોખમી છે પર્યાવરણની આપણે ચિંતા કરીએ છીએ તો આપણે ફરીથી જ્યારે એક સમાજ આ પર્યાવરણના સંતુલન માટે ગેસ ફર્નેશ તરફ વળ્યો છે તો એ લાકડા તરફ ફરીથી ન વળે અને પર્યાવરણની આપણે અસુરક્ષાનો ભય પેદા ન કરીએ એ માટે પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપ દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી હતી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. નાણામંત્રી કનુ દેસાઈ સહિતના દિગ્ગજોની હાજરીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હુંકાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં 10,000 ઉમેદવારો મેદાનમાં ઉતરશે, પરંતુ કોંગ્રેસની હાલત એવી છે કે તેમની પાસે 10,000 કાર્યકરો પણ નથી. તેમની રેલીઓમાં 100 માણસો ભેગા કરવા પણ મુશ્કેલ પડે છે. તેમણે ઉમેર્યું કે, જેમ ચોમાસું આવતા દેડકા બહાર નીકળે છે, તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસીઓ દેખાવા લાગે છે. વિશ્વકર્માએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને આદિવાસી કે સામાન્ય જનતાના પ્રશ્નોમાં કોઈ રસ નથી. તેઓ માત્ર સંસદના કેમ્પસમાં ચા-બિસ્કિટની મજા માણે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જે રીતે અપમાન થયું છે, તેનો બદલો જનતા આગામી ચૂંટણીમાં લેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 10 હજારથી વધુ બેઠકો પર આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પાસે 10 હજાર જેટલા કાર્યકર્તાઓ પણ નથી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના વિશ્વકર્માએ તેમના પર પ્રહાર કરતા કહ્યું કે, આ વિસ્તારમાં કેટલાક બહુરૂપી આવે છે. જે રીતે રાવણે બહુરૂપી બની સીતાજીનું અપહરણ કર્યું હતું, તેમ આ લોકો આદિવાસી સમાજના નામે બહુરૂપી બનીને સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. આ સંમેલન ધરમપુરના માલનપાડા ખાતે યોજાયું હતું. જેમાં નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય એજન્ડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બુથ લેવલનું આયોજન કરવાનો હતો. ધરમપુર અને કપરાડા વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકરો આ સંમેલનમાં ઉમટી પડ્યા હતા.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અનુસાર, સમગ્ર દેશની સાથે વડોદરામાં પણ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરાની જિલ્લા અદાલત અને તાલુકા અદાલતોમાં હજારો કેસોનો પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. મોટર અકસ્માતના કેસોમાં કરોડોનું વળતર અપાવવામાં સફળતાઅદાલતી કાર્યવાહીના લાંબા સમય અને ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ અપાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ લોક અદાલતમાં કરોડો રૂપિયાના વળતરના કેસોનો અંત આવ્યો હતો. આ વખતની લોક અદાલતમાં સૌથી મોટું આકર્ષણ મોટર અકસ્માત વળતર (MACP) ના કેસો રહ્યા હતા, જેમાં પક્ષકારોને કરોડો રૂપિયાનું વળતર અપાવવામાં સફળતા મળી હતી. વર્ષો સુધી ચાલતા કેસોનો પતાવટ ખૂબ જ ટૂંકા ગાળામાં અને પરસ્પર સમજૂતીથી કરવામાં આવ્યો હતો. એક વર્ષના ટૂંકા ગાળામાં 1.35 કરોડનું વળતરએક વર્ષના ટૂંકા ગાળામાં જ ગો ડિજિટ વીમા કંપની દ્વારા એક પક્ષકારને રૂ.1.35 કરોડનું માતબર વળતર ચૂકવવાનું ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે અકસ્માતના કેસોમાં વળતર મેળવતા વર્ષો વીતી જતા હોય છે, પરંતુ અહીં વીમા કંપની અને પક્ષકાર વચ્ચેની સંમતિથી ત્વરિત ન્યાય મળ્યો હતો. આવી જ રીતે, કરજણ તાલુકાના એક કિસ્સામાં પણ પક્ષકારો વચ્ચે ₹1.05 કરોડના જંગી વળતર પર સંમતિ સધાઈ હતી. આ બંને કેસોમાં થયેલા સમાધાનને કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. જિલ્લામાં 3 હજારથી વધુ ચેક રિટર્નના કેસોનો કાયમી ઉકેલલોકઅદાલતને મળેલી આ સફળતા પાછળ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સઘન પ્રી-કન્સિલિએશન પ્રક્રિયા જવાબદાર છે. આ પ્રક્રિયાને કારણે વડોદરા જિલ્લામાં 3000થી વધુ ચેક રિટર્નના કેસોનો કાયમી ઉકેલ આવ્યો છે, જે ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, 100થી વધુ અકસ્માત ક્લેમ કેસો અને અનેક પેટી ઓફેન્સ એટલે કે નાના ગુનાઓને પક્ષકારોની કબૂલાતના આધારે પૂર્ણ કરવામાં આવ્યા હતાં. પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિવડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોક અદાલતનો મુખ્ય હેતુ જ પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિ અપાવી ત્વરિત, સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાનો છે. આ ભગીરથ કાર્યમાં વકીલો, ન્યાયાધીશો અને પક્ષકારોનો સહયોગ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો, જેના પરિણામે હજારો પરિવારોને કાયદાકીય વિવાદોમાંથી કાયમી છુટકારો મળ્યો છે.
સુરત શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોના વેચાણનું દૂષણ વકરી રહ્યું છે. જનતાના આરોગ્ય સાથે થઈ રહેલા આ ચેડાં રોકવામાં સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને એક પત્ર લખીને ફૂડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માગણી કરી છે. નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓનું ઝેર લોકોના પેટમાં!છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓના મોટા જથ્થા પકડાઈ રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દરોડા ફૂડ વિભાગ દ્વારા નહીં, પરંતુ સુરત પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવી રહ્યા છે. કલ્પેશ બારોટે પોતાના પત્રમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, જે કામ ખરેખર મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું છે, તે કામ અત્યારે પોલીસ વિભાગે કરવું પડી રહ્યું છે. આ બાબત જ ફૂડ વિભાગના અધિકારીઓની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે. 'ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની ઘોર બેદરકારી ને ભેળસેળીયાએ બેફામ'આ વિવાદના કેન્દ્રમાં ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી રહી છે. કલ્પેશ બારોટે સીધો આક્ષેપ કર્યો છે કે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ અથવા તો તેમની ઘોર બેદરકારીને કારણે શહેરમાં ભેળસેળ કરનારા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. જ્યારે પોલીસ બાતમીના આધારે લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ ઝડપી પાડે છે, ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નમૂના લેવા પૂરતા જ સ્થળ પર પહોંચે છે. પોતે સ્વતંત્ર રીતે કોઈ મોટી કામગીરી કરવામાં કે નેટવર્ક તોડવામાં નિષ્ફળ રહ્યા છે. 'ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા'પત્રમાં સુરત પોલીસ કમિશનર અને SOGની ટીમની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે. બારોટે લખ્યું છે કે, પોલીસ વિભાગ પોતાની મૂળભૂત જવાબદારીઓ ઉપરાંત નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે પણ સક્રિય છે, જ્યારે મનપાના ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. ફૂડ વિભાગના ઈન્સ્પેક્ટરો ફિલ્ડમાં જઈને ચેકિંગ કરવાને બદલે કેમ નિષ્ક્રિય છે, તે તપાસનો વિષય છે. ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માગકલ્પેશ બારોટે મનપા કમિશનરને ભૂતકાળની ઘટનાની યાદ અપાવતા જણાવ્યું કે, અગાઉ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે ફરજમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્રએ ત્યારે જે રીતે કડક વલણ અપનાવ્યું હતું, તેવું જ વલણ અત્યારે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટ સામે પણ અપનાવવું જોઈએ. જો જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો નીચેના સ્તરના કર્મચારીઓમાં શિસ્તનો અભાવ રહેશે અને જનતાના સ્વાસ્થ્ય સાથે જોખમ વધતું જશે.
ગુજરાત સરકાર અને Pidilite Industries વચ્ચે થયેલા મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટના MOU હવે જમીની સ્તરે રંગ લાવી રહ્યા છે. મહુવા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત રાખવાને બદલે આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ માટે એક સુંદર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મકતા અને પ્રાયોગિક કૌશલ્યોને બહાર લાવવાનો છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓથી આત્મવિશ્વાસમાં વધારોઆ નવીન પ્રયોગ અંતર્ગત મહુવાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને કલાત્મક ચીજવસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં માત્ર કલ્પનાશક્તિ જ નહીં, પરંતુ પરસ્પર સહકાર અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ વિકસી રહ્યા છે. જ્યારે બાળકો પોતાના હાથે નવી વસ્તુઓનું નિર્માણ કરે છે, ત્યારે તેમની શીખવાની પ્રક્રિયા વધુ આનંદદાયક અને રસપ્રદ બને છે. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનનું માર્ગદર્શનઆ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવામાં Triveni Kalyan Foundationની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. સંસ્થાના કુશળ વોલેન્ટિયરો દરેક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. આ આયોજનબદ્ધ તાલીમને કારણે શિક્ષકોને પણ નવીન શૈક્ષણિક પદ્ધતિઓ જાણવા મળી છે, જે લાંબે ગાળે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવશે. કુંભણ કન્યા શાળામાં કૅન્ડી સ્ટીકમાંથી બની ફોટો ફ્રેમઆ અભિયાનના ભાગરૂપે તા. 14-03-2026ના રોજ મહુવા તાલુકાની કુંભણ કન્યા શાળામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસભાઈ દ્વારા વિદ્યાર્થીઓને કૅન્ડી સ્ટીકનો ઉપયોગ કરીને આકર્ષક ફોટો ફ્રેમ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. દીકરીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. નકામી લાગતી વસ્તુઓમાંથી કંઈક નવું અને સુંદર બનાવવાની આ કળા શીખીને વિદ્યાર્થીઓના ચહેરા પર ગૌરવ અને ખુશી જોવા મળી હતી. આભારની લાગણી અને ઉજ્જવળ ભવિષ્યરાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રયોગની સફળતાની નોંધ લેવામાં આવી છે. આ પ્રકારના નવતર પ્રયોગોથી શિક્ષણ જગતમાં એક નવી દિશા ખૂલી છે. આ સફળ આયોજન બદલ મહુવા શિક્ષણ વિભાગે ગુજરાત સરકાર, Pidilite Industries અને Triveni Kalyan Foundationનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે માલવાહક વાહન અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. પૂરપાટ ઝડપે આવતા માલવાહક વાહને ઇકો કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈકોને સુઝુકીએ ટક્કર મારીજામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રહેવાસી ઋષિકેશ મહેશ જોશી પોતાની ઇકો કાર (DD-01-C-6007) માં માતા ગૌરીબેન (50) અને ભાભી ક્રિષ્નાબેન (30) સાથે મોટી ગોપથી જામનગર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ચંગા ગામના પાટીયા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુઝુકી કેરી માલવાહક ગાડી (GJ-10-TY-1977) ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. કારનો કચ્ચરઘાણ વળ્યોટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર માર્ગ પર જ પડીકું વળી ગઈ હતી અને માલવાહક વાહન કાર સાથે અથડાયા બાદ નજીકના વીજપોલ સાથે ટકરાયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઋષિકેશ, ગૌરીબેન અને ક્રિષ્નાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહીઆ બનાવ અંગે ઋષિકેશ જોશીએ માલવાહક વાહનના ચાલક વિરુદ્ધ પંચકોશી B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ અને વોન્ટેડ રીઢો આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી જશપાલસિંગ ઉર્ફે બચ્ચુસિંગ મનજીતસિંગ દુધાણી (શિકલીગર), (ઉંમર 24, રહે. મહાકાળીનગર, વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા)ની ધરપકડ કરી છે. આ આરોપી અગાઉ વડોદરામાં 16 ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયોક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં મોપેડ લઈને જતા આરોપીને ઝડપી પૂછપરછ કરી હતી. દરમ્યાન તેની પાસેથી ચાંદીનું એક બિસ્કીટ-એક સિક્કો (કુલ રૂ. 28600), રોકડ રૂ. 23500, વિવો મોબાઇલ (રૂ. 5000) તથા મોટરસાયકલ (રૂ.50000) સહિત કુલ રૂ. 107100નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીએ બે ઘરફોડ ચોરીની કબૂલાત કરીપૂછપરછમાં આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરામાં આચરેલી બે ઘરફોડ ચોરીઓ જેમાં ગોત્રી અને અને સીટી પોલીસ મથકમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત આરોપી જાન્યુઆરી 2026માં મકરપુરા પો.સ્ટે.માં નોંધાયેલ GCTOC ગુના તથા અમદાવાદના ઇસનપુરમાં આચરેલા ચાર ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જણાયું છે. તે આ ગુનાઓમાં ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આરોપી 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો આરોપીનો ગુનાહીત ઇતિહાસની વાત કરવામાં આવે તો તે અગાઉ વડોદરા શહેરમાં કુલ 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા હેઠળ જેલ પણ ગયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા અને શ્રમિકોના સર્વાંગી ઉત્થાન માટે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,902 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બજેટને 'વિકસિત ભારત @ 2047'ના વિઝનને સાકાર કરનારું ગણાવ્યું છે. યુવા સશક્તિકરણ અને નવી યોજનાઓરાજ્યના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' અંતર્ગત 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ITI શિક્ષણને આધુનિક બનાવવા માટે 'PM-સેતુ યોજના' હેઠળ 200 કરોડના ખર્ચે હબ-એન્ડ-સ્પોક મોડલ વિકસાવાશે. ખાસ કરીને દીકરીઓને ટેકનિકલ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' અમલી બનાવાઈ છે, જેમાં 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000ની આર્થિક સહાય અપાશે. શ્રમિકો માટે સામાજિક સુરક્ષાનું કવચશ્રમિકોના કલ્યાણ માટે સરકાર 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો વ્યાપ વધારી રહી છે. 200 કરોડના ખર્ચ સાથે નવા 300 અન્નપૂર્ણા બુથ શરૂ થશે, જ્યાં માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. રહેઠાણ માટે 'શ્રમિક બસેરા યોજના' હેઠળ 150 કરોડ અને આરોગ્ય સેવાઓ માટે 50 નવા 'ધનવંતરી આરોગ્ય રથ' ઉમેરવા 160 કરોડ ફાળવાયા છે. મીઠાના અગરીયાઓ માટે સોલાર પેનલ ધરાવતા આવાસો માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં, અકસ્માત વીમા પેટે 3.5 લાખ અને સિલીકોસીસ પીડિતોને સારવાર તથા મરણોત્તર સહાયમાં વધારો કરાયો છે. રોજગારી અને ઔદ્યોગિક વિકાસના આંકડાગુજરાત આજે દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે. ભારતનો સરેરાશ બેરોજગારી દર 3.2% છે, જ્યારે ગુજરાતનો દર માત્ર 1.1% છે. વર્ષ 2025-26 દરમિયાન 1,215 ભરતીમેળા દ્વારા 2,60,878 ઉમેદવારોને રોજગારી મળી છે. રાજ્યમાં 559 ITI માં 2,18,516 બેઠકો કાર્યરત છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉત્સાહજનક વૃદ્ધિ જોવા મળી છે; છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં નવા 1,016 કારખાનાઓની નોંધણી સાથે કુલ સંખ્યા 51,033 પર પહોંચી છે. ડ્રોન ટેકનોલોજી અને ભવિષ્યનું લક્ષ્યભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખીને રાજ્યમાં 6 DGCA માન્ય ડ્રોન પાઇલટ તાલીમ કેન્દ્રો કાર્યરત છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા 600 થી વધુ પાઇલટ અને 1,200 થી વધુ તાલીમાર્થીઓને ડ્રોન મેન્યુફેક્ચરિંગની તાલીમ અપાઈ છે. સરકારનું આગામી લક્ષ્ય 4-5 વર્ષમાં 60,000 થી વધુ લોકોને અત્યાધુનિક તાલીમ આપીને 'વિકસિત ગુજરાત'ના પાયાને મજબૂત કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું 5,479 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના 4,700 કરોડના બજેટની તુલનામાં આ વખતે 779 કરોડનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનોને વધુ મજબૂત કરવા માટે મક્કમ છે. ઘરના સપનાને મળશે નવી પાંખોગામડાંમાં વસતા ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ 1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં આદિજાતિ લાભાર્થીને 2,72,820 અને બિન-આદિજાતિ લાભાર્થીને 2,32,920ની સહાય આપવામાં આવશે. વિશેષ વાત એ છે કે, જે લાભાર્થીઓનું ઘર રૂફ કાસ્ટ (ધાબા) લેવલ પર પહોંચશે, તેવા 18,000 લોકોને વધારાની 50,000ની સહાય આપવા માટે 90 કરોડ અલગથી ફાળવાયા છે. ગંદા પાણીના નિકાલ માટે નવી ટેકનોલોજીગામડાંઓને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 737.91 કરોડની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે 50 કરોડની નવી જોગવાઈ સાથે રાજ્યના 400 ગામોમાં 'એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ' (End Drain Treatment) પદ્ધતિ અમલી બનાવવામાં આવશે, જેથી ગંદા પાણીનું યોગ્ય શુદ્ધિકરણ થઈ શકે. 100ના બદલે હવે 125 દિવસ કામશ્રમિકોના હિતમાં મોટો નિર્ણય લેતા મનરેગા (VB-GRAM-G) યોજના માટે 1,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે શ્રમિકોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં રોજગાર પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ જશે, તો નિયમ મુજબ બેરોજગારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે. મહિલા સશક્તિકરણ: 'લખપતિ દીદી' ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે 'લખપતિ દીદી સશક્તિકરણ યોજના' હેઠળ 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે 10,000 અનુભવી મહિલાઓને તેમના વ્યવસાયના પેકેજિંગ અને મૂલ્યવર્ધન (Scaling-up) માટે મદદ કરાશે. સખી મંડળની બહેનો પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે તે માટે મહાનગરપાલિકા અને પ્રવાસન સ્થળોએ 20 કરોડના ખર્ચે 'ગ્રામ હાટ' બનાવવામાં આવશે. ઉપરાંત, આ ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચવા માટે 25 કરોડની માર્કેટિંગ સપોર્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, સચિવ ધનંજય દ્વિવેદી, લોચન સહેરા અને નીતિન સાંગવાન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટની 26 વર્ષીય યુવતી છેલ્લા 3 વર્ષથી પોતાના પતિ પાસે કેનેડા જવા માટે તે ભારતીય પાસપોર્ટ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ તે સફળ થઈ રહી નથી. તેની પાસે ભારતીય હોવાના અનેક માન્ય પુરાવા છે. જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને તે ઇન્કમ ટેક્સ પણ ભરે છે, છતાં ભારતીય પાસપોર્ટ તેના માટે મેળવવો દુષ્કર બની રહ્યો છે. પાસપોર્ટ માટે તેને ભારતીય નાગરિકતાના પુરાવાની જરૂર છે, અને નાગરિકતા માટે વિદેશી પાસપોર્ટની જરૂર છે. તેની પાસે આ બંનેમાંથી એક પણ નથી અને એક વગર બીજું મળવું અશક્ય છે. યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો ને માતા-પિતા ભારતીયઅંતે 26 વર્ષીય યુવતીએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કેસની વિગતો મુજબ યુવતીનો જન્મ વર્ષ 2000માં મોઝામ્બિકમાં થયો હતો, તેના માતા-પિતા ભારતીય નાગરિકો હતા. મોઝામ્બિકમાં પૂરની સ્થિતિ સર્જાતા, તેના માતા-પિતા તેને લઈને ભારત પરત ફર્યા હતાં. તે સમયે તેની ઉંમર માત્ર 18 દિવસની હતી. આ પરિવાર મોઝામ્બિક સરકાર દ્વારા જારી કરાયેલ ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત આવ્યો હતો. યુવતીનો ઉછેર અને અભ્યાસ ભારતમાં જ થયો છે. તેની પાસે તમામ માન્ય ઓળખપત્રો છે અને તે આવકવેરો પણ ભરે છે. યુવતીએ NRI સાથે લગ્ન કર્યાવર્ષ 2023માં યુવતીએ કેનેડાના કેલગરીમાં વર્ક પરમિટ પર રહેતા એક NRI સાથે લગ્ન કર્યા. પતિ પાસે વિદેશ જવા માટે તેણે વર્ષ 2023માં પાસપોર્ટ માટે અરજી કરી હતી. જન્મની નોંધણી ન થઈ હોવાથી પાસપોર્ટ આપવાનો ઇનકાર કરાયોજો કે તેનો જન્મ ભારતમાં ન થયો હોવાથી અને નાગરિકતા અધિનિયમની કલમ 4 હેઠળ મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસમાં તેના જન્મની નોંધણી ન થઈ હોવાથી તેને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પાસપોર્ટ સત્તાવાળાઓ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો મેળવવા માટે નવી દિલ્હીમાં મોઝામ્બિક હાઈ કમિશન અને મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ સાથે પ્રક્રિયા હાથ ધરી હતી. 'ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે'પ્રથમ અરજી બંધ થયા બાદ તેણે ફરીથી અરજી કરી. પ્રાદેશિક પાસપોર્ટ કચેરીની સલાહ મુજબ તેણે મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસ દ્વારા તેના જન્મ પ્રમાણપત્રને પ્રમાણિત કરાવવાની પ્રક્રિયા શરૂ કરી. જો કે જ્યારે તેણે આ પ્રક્રિયા પૂર્ણ કરી, ત્યારે 9 મે, 2025ના રોજ તેને જણાવવામાં આવ્યું કે માત્ર પ્રમાણિત જન્મ પ્રમાણપત્ર પૂરતું નથી. તેને પાસપોર્ટ માટે ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ જન્મ નોંધણી પ્રમાણપત્ર અથવા ભારતીય નાગરિકતા નોંધણીનું પ્રમાણપત્ર, અથવા ભારતીય નાગરિકતાનું નેચરલાઈઝેશન સર્ટિફિકેટ જોઈશે. અંતે યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરીતેણી પોતાની પાસેના તમામ દસ્તાવેજો સાથે નાગરિકતા પ્રમાણપત્ર માટે રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યાં 13 મે,2025ના રોજ કલેક્ટર કચેરીના અધિકારીએ તેની પાસે વિદેશી પાસપોર્ટ માંગ્યો, જે તેની પાસે ક્યારેય હતો જ નહીં. આ વિચિત્ર સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતા યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કેનેડા જઈને તેના પતિ સાથે રહેવા માંગતેણે રજૂઆત કરી છે કે, તેની પાસે વિદેશી પાસપોર્ટ ન હોવાથી તે ભારતીય નાગરિકતા અથવા નેચરલાઈઝેશનનું પ્રમાણપત્ર મેળવવાની સ્થિતિમાં નથી. તેણે હાઈકોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે જેથી તે કેનેડા જઈને તેના પતિ સાથે રહી શકે. આ કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે તેઓ યોગ્ય પગલાં લે અને 5 મે, 2025 ના અરજદારના પત્રવ્યવહારના સંદર્ભમાં આગામી સુનાવણી પહેલાં સોગંદનામું કરે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને તપોભૂમિ ગણાતા બગસરાના આંગણે પૂજ્ય મોરારિબાપુના વ્યાસપીઠે ગવાઈ રહેલી માનસ મેઘાણી રામકથા તેના સાતમા દિવસે ભક્તિ અને સાહિત્યના અનોખા સંગમ સમાન બની રહી હતી. કથાના સાતમા દિવસે શિવ વિવાહના પ્રસંગે શ્રોતાઓ કરુણા અને આનંદના સાગરમાં હિલોળા લેતા જોવા મળ્યા હતા. મેઘાણી: એક શબ્દથી આકાશને બાથમાં લેનાર સર્જકપૂજ્ય મોરારિબાપુએ મેઘાણીના સાહિત્યિક કદ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મેઘાણી માત્ર એક શબ્દ દ્વારા આખું આકાશ પોતાની બાથમાં લઈ લેવાની ક્ષમતા ધરાવે છે. બાપુએ ઉમેર્યું કે, મેઘાણીનો શબ્દ સીધો હૃદયને સ્પર્શ કરે છે, જેમાં કોઈ જાતિ વિકાર નથી. તેઓ આપણી સંસ્કૃતિનું મોંઘુ ઝવેરાત છે. બાપુએ પોતાની જીવનશૈલીના 5 મહત્વના અંગો – પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચનનો ઉલ્લેખ કરીને મેઘાણીના શબ્દોની ગરિમા ગાઈ હતી. શિવ વિવાહના પ્રસંગે કરુણા સભર માહોલકથાના ક્રમમાં આજે સતીના પુનઃજન્મ બાદ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થયેલું અવતરણ અને ત્યારબાદ ભગવાન શિવ સાથેના વિવાહનો પ્રસંગ બાપુએ અત્યંત ભાવુક રીતે રજૂ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગ સાંભળીને ઉપસ્થિત વિશાળ જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. સાહિત્યિક કૃતિઓનું લોકાર્પણ અને મહાનુભાવોની ઉપસ્થિતિકથાના પ્રારંભમાં વિવિધ સાહિત્યિક પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહાદુરભાઈ વાળાની રચના 'કલબલિયા', ડો. વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ 'અલખના આરાધક', ડો. સંજય દવે લિખિત 'લોક સંવેદના સર્જક મેઘાણી' અને નીતિન વડગામા સંપાદિત 'રામકથા માનસ સંવાદ'નું વિમોચન થયું હતું. આ પ્રસંગે સાહિત્યકારો, પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોમાં અભેસિંગ રાઠોડ, ચલાલાના મહંત પૂજ્ય મહાવીર બાપુ, સતાધારના પૂજ્ય મહંત વિજય બાપુ તથા મેઘાણીના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે બગસરા ભક્તિમય બની ગયું હતું.
સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે. ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. 15,000 થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2000 કિલો લાકડા મંગાવ્યા છે અને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી દેવામાં આવ્યા છે. 51 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, પણ જમણવારનું સંકટ દૂર કરવા રાત-દિવસ મહેનતગોડાદરા ખાતે યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમિતિએ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી હતી. 2000 કિલો લાકડાની ‘એન્ટ્રી’ અને મેદાનમાં ધમધમ્યા ચૂલાસમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે ગેસના બાટલાની અછત છે, પણ અમે મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. જાનૈયાઓને જમાડ્યા વગર તો ન જ મોકલાય. એટલે અમે તરત જ ગામડાઓનો સંપર્ક કર્યો અને ગઈકાલે રાત્રે જ 2000 કિલો લાકડાનો જથ્થો સુરત આવી પહોંચ્યો. અત્યારે લાકડા પર જ રસોઈ બની રહી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની રહી છે. મેનૂમાં શું છે? 14 વાનગીઓનો રસાસ્વાદગેસની અછત છતાં આયોજકોએ મેનૂમાં કોઈ કાપ મૂક્યો નથી. લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.રસોઈયાઓ દ્વારા ગઈ રાતથી જ દૂધીનો હલવો અને લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું.લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનો માણશે.રસોઈની ટીમનો દાવો છે કે સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે. જૂના દિવસો યાદ આવ્યા: કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતસ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે ગેસની સુવિધા નહોતી ત્યારે લોકો લાકડા પર જ રસોઈ બનાવતા હતા. આજે ગેસની અછતે અમને ફરીથી એ જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. અમે વિચાર્યું કે કેમ ફરીથી 'બેક ટુ બેઝિક' ન જઈએ? એટલે જ અમે લાકડાના ચૂલા બનાવીને આ ભવ્ય જમણવારની તૈયારી પૂર્ણ કરી છે. અછત વચ્ચે પણ આયોજકોની હિંમતસુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા 4 વર્ષથી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંને યુવક-યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ પ્રેમસંબંધ યુવતી માટે ત્યારે મુસીબત બન્યો જ્યારે યુવકે તેને વારંવાર ફોન કરી હેરાન કરવાનું શરૂ કર્યું. યુવતીના પરિવારને આ સંબંધની જાણ થતાં તેણે પ્રેમી સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ વાત પ્રેમીને મંજૂર નહોતી. ફોટા વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકીસંબંધ તોડી નાખવાની જીદ પર અડગ યુવતીને ડરાવવા માટે યુવકે અત્યંત હીન માર્ગ અપનાવ્યો હતો. તેણે યુવતીના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ માનસિક ત્રાસને કારણે યુવતી તેની પરીક્ષાની તૈયારી પર પણ ધ્યાન આપી શકતી નહોતી. અંતે હારીને યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની સમયસૂચકતા અને કાયદાકીય પાઠઘટનાની ગંભીરતા સમજીને ઉમરા અભયમ ટીમ તુરંત જ યુવતીની મદદે પહોંચી હતી. ટીમે યુવક અને યુવતી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અભયમની ટીમે યુવકને કાયદાનું ભાન કરાવતા જણાવ્યું કે, કોઈપણ સ્ત્રીના અશ્લીલ ફોટા ડિજિટલ માધ્યમ પર શેર કરવા કે પ્રસારિત કરવા એ ગંભીર સજાપાત્ર ગુનો છે, જેમાં જેલ અને દંડ બંને થઈ શકે છે. ભૂલ સ્વીકારી અને લેખિતમાં માફી માંગીકાયદાના સકંજામાં ફસાવાની બીક લાગતા યુવક નરમ પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના ફોનમાંથી યુવતીના તમામ ફોટા ડિલીટ કરી નાખ્યા હતા. 181 ટીમ દ્વારા યુવક પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી હતી કે હવે પછી તે યુવતી કે તેના પરિવારને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કે ધમકી આપશે નહીં. આ રીતે અભયમ ટીમે કુશળતાપૂર્વક મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું હતું.
જૂનાગઢ શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જાહેરાત બોર્ડ પ્રદર્શિત કરનાર એક એજન્સી સામે મહાનગરપાલિકાએ દંડનાત્મક કાર્યવાહી કરી અન્ય જાહેરાતકર્તાઓ માટે દાખલો બેસાડ્યો છે. નિયમોનું ઉલ્લંઘન પડ્યું ભારેપ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં 'પારેવડી ડિઝાઇનર' દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કિયોસ્ક પોલ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાડવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ કમિશનર જે.પી.વાજા અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 15,000 નો દંડ અને બાહેધરીમનપાની ટીમે તા. 11/03/2026 ના રોજ પારેવડી ડિઝાઇનર પાસેથી નિયમોના ભંગ બદલ રૂ. 15,000 ના દંડની વસૂલાત કરી હતી. આટલું જ નહીં, એજન્સી પાસે એવી બાહેધરી પણ લેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થશે નહીં. આ સાથે જ તમામ ગેરકાયદેસર બોર્ડ એજન્સીએ પોતાના ખર્ચે જ ઉતારી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. નાગરિકો અને સંસ્થાઓને અપીલમહાનગરપાલિકા દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેરાત કે અન્ય પ્રવૃત્તિ કરતા પહેલા તંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી વગરની પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સાણંદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને નિખારવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ સીઝન-3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લીગના સુપર લીગ રાઉન્ડની મેચો ગુરુવારે ચાંગોદર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને રસાકસીભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મેદાન પર ખેલાડીઓનો જોશ અને પ્રેક્ષકોનો ઉત્સાહ જોતા સમગ્ર વાતાવરણ રમતમય બની ગયું હતું. 12 ટીમો વચ્ચે ખેલાયો જંગસુપર લીગના આ મહત્વપૂર્ણ તબક્કામાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમની વચ્ચે 12 જેટલી રોમાંચક મેચો રમાઈ હતી. આ સ્પર્ધાઓમાં મુખ્યત્વે U-14 બોયઝ ખો-ખો અને U-14 ગર્લ્સ કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શ્રેણીમાં 6-6 ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. કુલ 12 મેચો દરમિયાન ખેલાડીઓમાં અદભૂત ઉર્જા અને જીતવાની જીજીવિષા જોવા મળી હતી. વિજેતા ટીમોનું શાનદાર પ્રદર્શનમેદાન પર ખેલાડીઓએ પોતાની ચપળતા અને વ્યૂહરચનાથી સૌના દિલ જીતી લીધા હતા: U-14 બોયઝ ખો-ખો: આ વિભાગમાં પીલુપુરા અને તાજપુરની ટીમોએ મેદાન માર્યું હતું. ખેલાડીઓએ શાનદાર સંકલન અને ટીમવર્કનું પ્રદર્શન કરી પોતપોતાના ઝોનમાં વિજય મેળવ્યો હતો. U-14 ગર્લ્સ કબડ્ડી: આ શ્રેણીમાં સારી અને કોલાટની દીકરીઓએ પોતાની મક્કમતા અને રમત કૌશલ્યના જોરે જીત હાંસલ કરી હતી. તેમની વ્યૂહરચના પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્થાનિક નેતૃત્વ અને સુચારૂ આયોજનઆ ટુર્નામેન્ટની સફળતા પાછળ સ્થાનિક સમુદાય અને નેતૃત્વનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. ચાંગોદરના સરપંચ બહાદુરભાઈ શંકરભાઈ ઠાકોર તથા મુનાભાઈએ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. મેદાનની તૈયારીથી લઈને ખેલાડીઓ માટે પૌષ્ટિક ભોજન અને અન્ય તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં તેમણે વિશેષ જહેમત ઉઠાવી હતી. વિજયી ભારત ફાઉન્ડેશનનો અભિગમવિજયી ભારત ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત 'ખેલે સાણંદ' અભિયાન માત્ર એક રમત નથી, પરંતુ ગ્રામીણ યુવાનો માટે પોતાની કુશળતા વિકસાવવાનું એક સબળ પ્લેટફોર્મ છે. ‘ટીમ ખેલે સાણંદ’ દ્વારા જણાવાયું હતું કે, “આપણા ગામડાઓના એથ્લેટ્સમાં રહેલું સમર્પણ પ્રેરણાદાયી છે. આ પહેલ ગ્રામીણ ભારતમાં સ્પોર્ટ્સ કલ્ચરને મજબૂત કરી ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.”
જરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર વડોદરામાં ટેકનોલોજી ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. એઆઈ પાવર ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી ટેક કન્સલ્ટિંગ કંપનીએ શહેરમાં 'અદિતિ એઆઈ લેબ' (Aditi AI Lab) કાર્યરત કરી છે. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક એપ્રેન્ટીસશિપ અભ્યાસક્રમ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કુશળ એન્જિનિયર્સ તૈયાર કરવાનો છે. પ્રેક્ટિકલ તાલીમ અને મેન્ટરશિપ પર ભારઅદિતિ લેબ્સનું લક્ષ્ય ગુજરાતની યુવા એન્જિનિયરિંગ પ્રતિભાઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક જગતના પ્રેક્ટિકલ એઆઈ કૌશલ્યથી સજ્જ કરવાનું છે. આ માટે સંસ્થા દ્વારા યોગ્ય મેન્ટરશિપ પૂરી પાડવામાં આવશે. જે કંપનીઓ હાલમાં એઆઈ ટેકનોલોજી અપનાવી રહી છે, તેમની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિભાઓને ગ્લોબલ એક્સપોઝર આપવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી શકે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહભાગીવર્તમાન સમયમાં ઔદ્યોગિક સંસ્થાઓ પોતાની પરંપરાગત કાર્યશૈલીને આધુનિક બનાવી રહી છે. કાર્યો ઓટોમેટિક થાય અને ઇન્ટેલિજન્ટ ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ થાય તે માટે એઆઈનો સ્વીકાર ઝડપથી વધી રહ્યો છે. અદિતિ લેબ એઆઈ ઈનોવેશનને એવા ઉકેલોમાં ફેરવશે જે સીધા કંપનીઓના વિકાસમાં મદદરૂપ થાય. આ પહેલ શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સેતુ સમાન સાબિત થશે. 12 મહિનાનો ખાસ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામઆ લેબ હેઠળ 12 મહિનાનો એક વિશેષ એઆઈ એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ આશાસ્પદ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ઉદ્યોગ જગત માટે તૈયાર પ્રોફેશનલ્સમાં પરિવર્તિત કરશે. આ પ્રોગ્રામમાં જોડાનાર યુવાનોને રિયલ-વર્લ્ડ એઆઈ સિસ્ટમ્સ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ મળશે. તેઓ ટેલિકોમ, ફિન્ટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા મહત્વના ક્ષેત્રોના લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આ ઉપરાંત, ડેટા એન્જિનિયરિંગ, મોડેલ ડેવલપમેન્ટ અને ઓપરેશનલ મોડેલ્સ વિકસાવવાની જટિલ કુશળતા પણ કેળવશે.
દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં ગતિશીલતા લાવવા અને તેમને આર્થિક તથા સામાજિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુ સાથે વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ એક પગલું ના સૂત્ર હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સાધનોનું વિતરણ કરી તેમને સ્વનિર્ભરતાની ભેટ આપવામાં આવી હતી. ઉચ્ચસ્તરીય નેતૃત્વ હેઠળ સાધન વિતરણગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી દિવ્યાંગ સાધન વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અનુસંધાને અને નિયામક વિક્રમસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ વડોદરા ખાતે સ્થાનિક કક્ષાએ આ વિશેષ વિતરણ કેમ્પ યોજાયો હતો. 41 લાભાર્થીઓને મળી નવી ગતિવડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 41 દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લાભાર્થીઓની જરૂરિયાત અને શારીરિક સ્થિતિની યોગ્યતાને ધ્યાને રાખીને તેમને મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ તેમજ જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે અન્ય પર નિર્ભર રહેવાને બદલે પોતાની દૈનિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક કાર્યો વધુ સરળતાથી કરી શકશે. સાધનોની જાળવણી અને ઉપયોગ અંગે માર્ગદર્શનજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમાએ કેમ્પ દરમિયાન હાજર રહીને તમામ લાભાર્થીઓને વિતરણ કરાયેલા સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરની સંભાળ, ચાર્જિંગ અને લાંબા ગાળાની જાળવણી કેવી રીતે કરવી તે બાબતે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી લાભાર્થીઓ આ આધુનિક સાધનોનો મહત્તમ લાભ ઉઠાવી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો આભારસમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ દ્વારા અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આધુનિક સહાય મેળવ્યા બાદ લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે સરકારશ્રીની આ કલ્યાણકારી યોજના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાધનો દિવ્યાંગો માટે માત્ર પરિવહનનું સાધન નહીં, પરંતુ તેમના જીવનમાં આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ બનશે.
મોરબી જિલ્લા SOG ટીમે લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી એક નાસ્તાની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન દુકાનમાંથી 2.606 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, રોકડ રકમ, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,16,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર, એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે આવેલી પતરાની નાસ્તાની દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી ઉદયભાઈ રામખેલાવન વર્મા (હાલ રહે. લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તે, એકવાસેરા સેનેટરી કારખાના પાસે; મૂળ રહે. ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2.606 કિલોગ્રામ ગાંજો, ગાંજાના વેચાણથી મળેલા ₹1400 રોકડા, એક વજન કાંટો અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું
ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશાળ ગણાતા રમત ઉત્સવ 'ખેલ મહાકુંભ'માં વડોદરાના સ્વિમર્સે પોતાની પ્રતિભાનો પરચો આપતા અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. રાજ્યભરના હજારો ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડતા આ મહાકુંભમાં વડોદરાની સ્વિમિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરી કુલ 115 પદકો પોતાના નામે કર્યા છે. જેમાં 43 ગોલ્ડ, 23 સિલ્વર અને 19 બ્રોંઝ પદકોનો સમાવેશ થાય છે. આ વિજય સાથે વડોદરાએ ફરી એકવાર સ્વિમિંગ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ત્રણ તબક્કામાં યોજાઈ હતી સ્પર્ધાખેલ મહાકુંભ 2025ની રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 18 અને 19 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાથી થઈ હતી, જ્યાં ઓપન એજ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મુકાબલા યોજાયા હતા. ત્યારબાદ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર ખાતે અંડર-11, અંડર-14 અને અંડર-17 બોયઝ કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી. અંતિમ તબક્કામાં 22 અને 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન હિંમતનગરમાં ગર્લ્સ કેટેગરીની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. સ્ટાર પરફોર્મર્સ: માધવ દાઉદીયા અને શિવમ કુમારની ચમકઆ સમગ્ર સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ વ્યક્તિગત રીતે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અંડર-17 કેટેગરીમાં માધવ નિલેશભાઈ દાઉદીયા 05 ગોલ્ડ મેડલ જીતીને 'સ્ટાર પરફોર્મર' તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે નાની ઉંમરની અંડર-11 કેટેગરીમાં શિવમ કુમારે 02 ગોલ્ડ મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદક વિજેતા ખેલાડીઓની લાંબી યાદી વડોદરાને ગૌરવ અપાવનારા અન્ય મુખ્ય પદક વિજેતાઓમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે: આઝિક્યા સિંહ: 04 ગોલ્ડ, 01 સિલ્વર અવની સિંહ: 04 ગોલ્ડ, 01 બ્રોંઝ જયવલ જાની: 03 ગોલ્ડ, 01 બ્રોંઝ જયદીપ કિથોરિયા: 03 ગોલ્ડ, 01 સિલ્વર અનુશ્યા કૈથવાસ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ સ્મૃતિ સિંહ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ ઓમ કદમ: 02 ગોલ્ડ, 03 બ્રોંઝ સાંવી પટવા: 02 ગોલ્ડ, 02 સિલ્વર હર્ષ મહેશ્વરી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 03 બ્રોંઝ પ્રશિવ જોશી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 02 બ્રોંઝ આ ઉપરાંત ચિરાગ નેગી, આરુષ લાંજેવાર, શુભમ મેર, પ્રિષા પંચોલી, હિમધી ચૌહાણ અને સારા સરોહાએ પણ ગોલ્ડ મેડલ જીતીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સિલ્વર અને બ્રોંઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં કાશ્વી સિંહ (04 સિલ્વર), જિનલ પિત્રોડા, રેણુકા પહુ, વૈષ્ણવી કુનવારિયા, ભાવ્યા મહેતા અને અન્ય ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સફળતા પાછળનું સીક્રેટ: સખત તાલીમ અને માર્ગદર્શનઆ ઐતિહાસિક સફળતા રાતોરાત મળી નથી. આ તમામ સ્વિમર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ મહિનાઓથી કઠોર તાલીમ લઈ રહ્યા છે. કોચ કૃષ્ણ પંડ્યા અને વિવેક સિંહ બોરલિયાના ટેકનિકલ માર્ગદર્શન તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારની શારીરિક તાલીમે આ ખેલાડીઓને માનસિક અને શારીરિક રીતે સજ્જ કર્યા છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત અને કોચિંગ સ્ટાફના સમર્પણને કારણે આજે વડોદરાનું નામ રમતગમત જગતમાં ગુંજતું થયું છે.
જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભયાનક હિંસક અથડામણ સર્જાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 પુરુષો અને 5 મહિલાઓ સહિત કુલ 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂની અદાવતમાં લોહિયાળ જંગ વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે રાઠોડ અને જાદવ સમાજના બે જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આજે સવારે જ્યારે જાન જઈ રહી હતી, ત્યારે અચાનક ટોળાએ ઘાતક હથિયારો સાથે હીચકારો હુમલો કરી દીધો હતો. જોતજોતામાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ગામ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. 25 લોકો લોહીલુહાણ, ધારપુર સિવિલમાં દોડધામ આ હિંસક અથડામણમાં પથ્થરમારો અને હથિયારોના ઘા વાગવાથી 20 થી વધુ પુરુષો અને 5 મહિલાઓ લોહીલુહાણ થઈ હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિહોરી અને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધારપુર હોસ્પિટલના RMMO રમેશભાઈએ જણાવ્યું હતું કે, બંને પક્ષના થઈને કુલ 24 થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલ પરિસરમાં પણ ઈજાગ્રસ્તોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઘટનાની ગંભીરતા જોતા સરસ્વતી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દિવ્યાંગોને સ્વનિર્ભર અને સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના 5676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36.7 કરોડ રૂપિયાની કિંમતની મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોનું રોજિંદું જીવન વધુ સરળ, સુગમ અને ગતિશીલ બનાવવાનો છે. ટેકનોલોજીથી દિવ્યાંગોનું જીવન બનશે સરળઅત્યાર સુધી દિવ્યાંગોને સાધન સહાય યોજના હેઠળ હાથથી ચલાવવી પડે તેવી સાદી ટ્રાઈસિકલ કે વ્હીલચેર આપવામાં આવતી હતી. જેના કારણે તેમને શારીરિક શ્રમ વધુ કરવો પડતો અને લાંબા અંતરની મુસાફરીમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ વેદનાને સમજીને સરકારે હવે આધુનિક સાધનો આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં પ્રતિકરૂપે 40 લાભાર્થીઓને સાધનો અર્પણ કરી આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહાયની રકમ અને વયમર્યાદામાં ઐતિહાસિક ફેરફારમુખ્યમંત્રીએ દિવ્યાંગોના હિતમાં વધુ બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. લોકમોટર ડિસેબિલિટી, સેરેબ્રલ પાલ્સી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા દર્દીઓ મુસાફરી દરમિયાન પણ પોતાની વ્હીલચેર સાથે રાખી શકે તે માટે હવે સાદી જોયસ્ટિક વ્હીલચેરને બદલે 'ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર' આપવામાં આવશે. આ માટે સહાયની રકમ વધારીને 1.10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા બાળકો માટે સહાય મેળવવાની પાત્રતા વય 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી દેવામાં આવી છે, જેથી નાની ઉંમરથી જ તેમને આધુનિક સુવિધા મળી રહે. બજેટમાં 60 કરોડની જોગવાઈ અને સેચ્યુરેશન એપ્રોચવર્ષ 2025-26 ના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માટે 60 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યનો એક પણ જરૂરતમંદ દિવ્યાંગ આ સહાયથી વંચિત ન રહેવો જોઈએ. આ માટે 'સેચ્યુરેશન એપ્રોચ' (સો ટકા લક્ષ્યાંક) અપનાવવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતને વૈશ્વિક કુશળતાના હબ તરીકે સ્થાપિત કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નિયામક રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ તૈયાર કરી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી મેળવવા સક્ષમ બનાવવાનો છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થશે 'સ્કિલ્ડ' યુવાનોઆ પ્રસંગે સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કુશળ માનવબળ એ 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો મજબૂત પાયો છે. આ MoU અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક સ્કિલ્સનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. આ તાલીમ યુવાનોને ભવિષ્યના પડકારો અને ઉદ્યોગોની માગને અનુરૂપ તૈયાર કરશે, જેથી તેમની કારકિર્દીના નવા દ્વાર ખુલશે. સોલાર, વિન્ડ અને લોજિસ્ટિક્સ સેક્ટર્સ પર ભારઆ સમજૂતી અંતર્ગત યુવાનોને એવા ક્ષેત્રોમાં તૈયાર કરવામાં આવશે જેમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. ખાસ કરીને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ તથા કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા વિષયો પર વિશેષ તાલીમ કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIs માં અદ્યતન 'સ્કિલ લેબ્સ'ની સ્થાપના કરવામાં આવશે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને માત્ર થીયરી નહીં પરંતુ પ્રત્યક્ષ ઉદ્યોગ અનુભવ (Hands-on training) અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે, જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. 'વિકસિત ભારત @2047' વિઝન આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ પહેલ વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047' અને 'સ્કિલ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરવામાં પૂરક સાબિત થશે. હજારો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ મળવાથી ગુજરાતમાં રોજગારના નવા વિકલ્પો ઉભા થશે અને ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જ કુશળ કારીગરો મળી રહેશે. આ કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, મંત્રીના અંગત સચિવ જે.બી.વદર સહિત ઉચ્ચ અધિકારીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 12 માર્ચ 2026 ના રોજ કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા આયોજિત આંતર-કોલેજિયેટ ઇવેન્ટ “ટેક્નોમંત્ર 2026” માં કોલેજના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની સંસ્થાનું નામ રોશન કર્યું છે. ટગ ઓફ વોરમાં મેદાન માર્યુંશારીરિક ક્ષમતા અને અદભૂત ટીમવર્કની કસોટી કરતી ‘ટગ ઓફ વોર’ સ્પર્ધામાં પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની ટીમે મેદાન માર્યું હતું. સંકલન અને અતૂટ નિશ્ચય સાથે રમીને આ ટીમે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ વિજેતા ટીમમાં ઉન્નતિ તપોધન, વિશ્વા પટેલ, પ્રાચી બાંભણીયા, તિથિ આદેશરા અને તૃપ્તિ ભાવસારનો સમાવેશ થાય છે. સર્જનાત્મક સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાનમાત્ર રમતગમત જ નહીં, પરંતુ બૌદ્ધિક અને સર્જનાત્મક કૌશલ્યમાં પણ વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું હતું. ‘પિક્શનરી’ સ્પર્ધામાં ઉન્નતિ તપોધન અને મોક્ષ મિસ્ત્રીએ પોતાની ત્વરિત વિચારશક્તિના જોરે બીજો ક્રમ મેળવ્યો હતો. તેવી જ રીતે, ‘રિવર્સ ચૅરેડ્સ’ સ્પર્ધામાં તિથિ આદેશરા અને પ્રાચી બાંભણીયાની જોડીએ પ્રભાવશાળી તાલમેલ બતાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કૂકિંગમાં પણ નવીનતાનો સ્પર્શઆધુનિક કૌશલ્યોની સાથે વિદ્યાર્થીઓએ ‘કૂક વિધાઉટ ફાયર’ (અગ્નિ વિના રસોઈ) સ્પર્ધામાં પણ પોતાની કળા પીરસી હતી. આ સ્પર્ધામાં મોક્ષ મિસ્ત્રી અને હાની પંચાલે પોતાની નવીન વાનગીઓ અને આકર્ષક પ્રસ્તુતિ દ્વારા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા અને બીજો ક્રમ પોતાના નામે કર્યો હતો. માર્ગદર્શન અને પ્રોત્સાહનવિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ કોલેજના ફેકલ્ટી સભ્યો ડૉ. હેતલ દોશી અને ડૉ. બીના પટેલનું સચોટ માર્ગદર્શન રહ્યું હતું. આ ઉપરાંત, આચાર્ય ડૉ. એન. ડી. શાહના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓ આટલી ઉંચાઈએ પહોંચી શક્યા છે. કોલેજ મેનેજમેન્ટ અને તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં જ છેલ્લા 24 કલાકમાં ઘર પાસે રમતા બે બાળક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. પહેલી ઘટનામાં બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. તો આજે પણ 3 વર્ષીય બાળક પર કૂતરાએ હુમલો કરી માથા સહિતના શરીરના ભાગે 25થી વધઉ બચકા ભર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રોજના સુરચ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. શ્વાનોથી બાળકોના જીવને જોખમ હોવા છતાં મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વર્તી રહી છે. ઘટના 1: સંગમ સોસાયટીમાં 3 વર્ષીય સોમ ગોરા ભોગ બન્યોભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટી પાસે આજે 14 માર્ચની સવારે 3 વર્ષીય સોમ ગોરા પર શ્વાને હુમલો કર્યો હતો. સવારે સોમ જ્યારે ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે શ્વાને સીધો જ તેના હુમલો કરી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યોશ્વાને સોમ ગોરાના માથા, મોઢા અને પગના ભાગે 25થી વધુ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના જડબામાંથી છોડાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં સોમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરાવવામાં આવી રહી છે. ઘટના 2: ગણેશનગરમાં 4 વર્ષીય અંશ કુશવાહના ગામે બચકું ભર્યુંભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં રહેતા 4 વર્ષીય અંશ કુશવાહ નામનો બાળક પોતાના ઘર પાસે મિત્રો સાથે ગઈકાલે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક શ્વાન તેની પાછળ પડ્યું હતું. બાળક કંઈ સમજે તે પહેલાં શ્વાને તેને જમીન પર પાડી દીધો હતો અને તેના ગાલ પર બચકું ભરી ગાલનો ભાગ ફાડી નાખ્યો હતો. મોઢા પર ગંભીર ઈજા થવાને કારણે અંશને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની ભયાનક સ્થિતિ, રોજ 100થી વધુ કેસસુરત સિવિલ હોસ્પિટલના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, દરરોજ શહેરમાંથી 100થી વધુ કેસ ડોગ બાઈટ (શ્વાન કરડવા) અને કેટ બાઈટના આવી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં વહેલી સવારથી જ લોકો હડકવાની રસી મુકાવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવતા કેસોમાં મોટાભાગે નાના બાળકો અને વૃદ્ધો હોય છે, જેઓ શ્વાન સામે પોતાનો બચાવ કરી શકતા નથી.
વિશ્વને યોગની તાકાતનો અહેસાસ કરાવનાર અને ભારતીય સંસ્કૃતિના વારસાને વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠા અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે 21 જૂન સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવાય છે. આ શૃંખલામાં વર્ષ 2026ના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાતમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે. ગાંધીનગર સ્થિત નવા MLA આવાસ ખાતે આયોજિત 'કર્ટન રેઝર' ઇવેન્ટ સાથે જ 100 દિવસના કાઉન્ટડાઉનનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોની પ્રેરક હાજરીમાં 'કર્ટન રેઝર' ઇવેન્ટગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વિવિધ ધારાસભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક કદમ યોગમય વિધાનસભા તરફ ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય નેતૃત્વ દ્વારા સમાજને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો મજબૂત સંદેશ આપ્યો છે. છેવાડાના માનવી સુધી પહોંચશે યોગનો પ્રભાવઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ 'કોમન યોગ પ્રોટોકોલ' (Common Yoga Protocol) દ્વારા જન-જનને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ બનાવવાનો છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ કળા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ છે કે યોગનો આ વ્યાપ રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે અને દરેક નાગરિક આ પ્રાચીન પરંપરાનો લાભ લેતા થાય. આગામી 100 દિવસનું એક્શન પ્લાનઆજના આ ભવ્ય પ્રારંભ બાદ હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ આગામી 100 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સક્રિય રહેશે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોએ વિવિધ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ વ્યાપક પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા 21 જૂન પહેલા ગુજરાતના ખૂણેખૂણે યોગમય વાતાવરણ તૈયાર કરવામાં આવશે, જેથી ગુજરાત દેશનું સૌથી સ્વસ્થ અને સજાગ રાજ્ય બની શકે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે ખુલી જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે આવેલ અંડર બ્રિજ નજીક રેડ કરતા છ શખ્સો ગોળ કુંડાળ વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં ભીમદેવ મહિપતસિંહ ગોહિલ ઉંમર વર્ષ.52, રહે.વિઠલવાડી બાવળિયા હનુમાન મંદિર સામે ભાયાણીની વાડી તુલસીનગર, સલીમ મનસુરભાઈ સુમરા ઉંમર વર્ષ.53, રહે.કુંભારવાડા, નયુદ્દીન રફીકભાઈ બેલીમ ઉંમર વર્ષ.30, રહે.કુંભારવાડા, સલીમ હાજીભાઈ મજરા ઉંમર વર્ષ.42, રહે.કુંભારવાડા, સકીલ ગફાર શેખ ઉંમર વર્ષ.35 રહે.કુંભારવાડા અને મહંમદહુસૈન આરીફભાઈ કુરેશી ઉંમર વર્ષ.21 રહે.કુંભારવાડા વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 45,360 કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં પ્રથમ લોક અદાલત:15 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો, 9500થી વધુ કેસોનો નિકાલ થશે
જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન. આર. જોશીના નેતૃત્વ હેઠળ 14 માર્ચ 2026ના રોજ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં 9,500થી વધુ કેસોના નિકાલ માટે રાખવામાં આવ્યા છે. આ કેસોની સુનાવણી કુલ 27 કોર્ટમાં વિવિધ ન્યાયાધીશો દ્વારા હાથ ધરવામાં આવશે. બેંકો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત આશરે 15 જેટલી સંસ્થાઓએ આ લોક અદાલતમાં ભાગ લીધો છે. લોક અદાલતમાં પ્રી-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનકારી કેસોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, મેટ્રિમોનિયલ કેસો, ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાકી લેણાંના કેસો, ઇ-ચલણ અને MACPના કેસો તેમજ કબૂલાતપાત્ર અન્ય તમામ કેસોનો નિકાલ કરવામાં આવશે. હાલ આ કેસોના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરના જ્યુડિશિયલ ઓફિસર, કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રોનો સારો સહકાર મળી રહ્યો છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન લાવી વર્ષો જૂના કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અકસ્માત સર્જનારા કારચાલકને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા કારચાલકે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો છે. આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ ફરિયાદ આવી ન હોય પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. શુક્રવારે રાત્રે નિકોલમાં કારચાલકે અકસ્માત સર્જયો હતોનિકોલમાં ખોડિયાર મંદિર પાસે 13 માર્ચે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ GJ-13 CB 2908 નંબરની I-10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને સમજાવવા આવ્યા હતા ત્યારે કારચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી.આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરીવાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ વાઘેલા જણાવ્યું હતું કે હાલ અમારી પાસે કોઈ ફરિયાદ કરવા આવ્યો નથી. પરંતુ અમે ગાડીના નંબરના આધારે તપાસ કરી રહ્યા છે.સાથે ટ્રાફિક પોલીસ પર કાર ચાલકની તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃલાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર સિદ્ધાર્થ રાવલ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ રાવલ સામે 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધાર્થે લોકોને શરૂઆતમાં રોકાણ કરવાનું કહીને સારું એવું વળતર પણ આપ્યું હતું, પરંતુ થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરીને ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યુંપાલડીમાં રહેતા આશીનીબેન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વર્ષ 2021માં સિદ્ધાર્થના સંપર્કમાં આવ્યા હતા. જેમાં તેમને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીના કર્મચારી અને માલિકે રોકાણ પર દર મહિને 10%ના લેખે વળતર ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જેથી આશીનીબેને 10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં તેમને શરૂઆતમાં વળતર આપવામાં આવ્યું હતું. જે બાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આશાનીબેને મૂડી પરત માંગતા વાયદા કરીને મૂડી પરત આપી ન્હોતી. આશાનીબેન સહિત અન્ય લોકો સાથે પણ આ રીતે જ પૈસા પડાવ્યા હતા જેથી સરખેજ પોલીસે 20 લાખની છેતરપિંડી મામલે સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મૂડી પરત ન આપી અલગ અલગ બહાના બનાવ્યાસેટેલાઈટમાં રહેતા કલ્પનાબેન શાહે પણ સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2022માં તેમનો સંપર્ક સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપની સાથે થયો હતો. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાની સારી પોલીસી જણાવી સારું વળતર આપવાની લાલચ આપી હતી. જેથી કલ્પનાબેને 8.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કલ્પનાબેનને શરૂઆતમાં રોકાણ પર વળતર આપવામાં આવતું હતું. જ્યારે કલ્પનાબેને તેમની મૂડી પરત માગી ત્યારે પરત આપવામાં આવી નહોતી અને અલગ અલગ બહાના બનાવવામાં આવતા હતા. બીજી ફરિયાદમાં 22 લાખની છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસકલ્પનાબેને સિદ્ધાર્થ રાવલની ઓફિસ અને રહેઠાણ ખાતે તપાસ કરી તો તે ત્યાં પણ હાજર ન હતો. કલ્પનાબેન સહિત અન્ય ચાર લોકો પાસે પણ આ જ રીતે અલગ અલગ રકમ લઈને ઠગાઈ કરવામાં આવી હતી. સરખેજ પોલીસે બીજી ફરિયાદમાં સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ 22 લાખની છેતરપિંડી મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઠક્કરનગર બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહેલા યુવકને પૂરઝડપે એક બુલેટ ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે 23 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરેથી જમીને ચાલવા બહાર નીકળ્યો અને બુલેટ ચાલકે ઉડાવ્યોશહેરના હીરાવાડી વિસ્તારમાં રહેતો 23 વર્ષનો સાહિલ રાદડિયા નિકોલ ખાતે આવેલા મોતીલાલ ઓસ્વાલ ખાતે શેરબજારનો કામ કરતો હતો. ગત મોડી રાત્રે સાહિલ તેના ઘરેથી જમીને ચાલવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન ઠક્કરનગર BRTS ટ્રેકમાં સાહિલ ચાલી રહ્યો હતો. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે સાહિલને ટક્કર મારી હતી, જેના કારણે સાહિલ નીચે પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, સાહિલને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતોસાહિલનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ બુલેટ પરથી પડ્યો હતો. જેના કારણે બુલેટ ચાલકને પણ ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વૃદ્ધને ટુ-વ્હીલર ચાલકે ટક્કર મારતા ઘરના દરવાજે જ મોતઅન્ય કિસ્સામાં દાણીલીમડા વિસ્તારમાં શક્તિ સોસાયટીમાં રહેતા નૂર મોહમદ રાતના 8 વાગ્યે મસ્જિદમાં નમાઝ માટે ગયા હતા.રાતે 10 વાગ્યે નમાઝ કરીને પરત આવી રહ્યા હતા, ત્યારે તેમના ઘર મેઈન દરવાજા પાસે પહોચતા જ એક સફેદ કલરના બર્ગમેન ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. બર્ગમેનની ટક્કર બહાર રમી રહેલી 4 વર્ષની બાળકી અને નૂરમોહમદને વાગતા બાળકીને ઇજા થઈ હતી. જ્યારે નૂરમોહમદને માથાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન નૂરમોહમદનું મોત થયું હતું. કે.ડિવિઝન ટ્રાફિક પોલીસે ટૂ-વ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ રેલવે પોલીસ અને શી ટીમે સતર્કતા દાખવી ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું પરિવાર સાથે ભાવુક પુનઃમિલન કરાવ્યું હતું. રેલવે ટ્રેનો અને રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો સામેના ગુનાઓ અટકાવવા માટે વિશેષ સૂચનાઓ અપાઈ છે. આ માર્ગદર્શન હેઠળ, ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત કાર્યરત છે. તારીખ 13 માર્ચ, 2026ના રોજ બપોરે આશરે 12 વાગ્યે એક મુસાફરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને એક યુવતી અને તેની નાનકડી બાળકી વિશે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર 22 વર્ષ અને તે બોરીવલી વેસ્ટ, મુંબઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને પોતાના પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે, તેણે ઘરમાં કોઈને જાણ કર્યા વિના દીકરીને સાથે લઈ આંગણવાડી જઈ રહી છું એમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ તે કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી ભરૂચ રેલવે પોલીસે યુવતીને સમજાવી તેના પતિનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો. પતિને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. જરૂરી દસ્તાવેજો અને નિવેદન લીધા બાદ યુવતી પોતાની ઈચ્છાથી પતિ સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરીને યુવતી અને તેની બાળકીનો કબજો તેના પતિને સોંપ્યો હતો. લાંબા સમય પછી પરિવારનું પુનઃમિલન થતાં ભાવુક ક્ષણો સર્જાયા હતા.

29 C