SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

મંડે પોઝિટીવ:2026માં મેટ્રો-2બી, મેટ્રો-9, મેટ્રો-4, મેટ્રો-4એના પહેલા તબક્કાની શરૂઆત

નવા વર્ષમાં મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. આ વર્ષમાં મુંબઈગરાની સેવામાં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. એમાં એક રૂટ ઉત્તર મુંબઈને ભાઈંદર સાથે જોડશે, બીજો રૂટ થાણેના ઘોડબંદર રોડ પર દોડશે તો ત્રીજો રૂટ પૂર્વ મુંબઈમાં છે. મુંબઈમાં કુલ 17 મેટ્રો રૂટનું 350 કિલોમીટરનું જાળુ બિછાવવામાં આવશે. એમાંથી લગભગ 70 કિમીના ચાર મેટ્રો રૂટ પ્રવાસીઓની સેવામાં ચાલુ છે. હવે 2026માં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કામાં લગભગ 22 કિમી સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે.પશ્ચિમ મુંબઈને પૂર્વ કિનારાપટ્ટી સાથે જોડતો મેટ્રો-2બી રૂટ ઈએસઆઈસી નગરથી મંડાલા છે. આ રૂટનો પહેલો તબક્કો મંડાલાથી ચેંબુર સુધી પાંચ સ્ટેશનનો છે. આ તબક્કો તૈયાર છે. જો કે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાનું હોવાથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો નથી. આ રૂટ 2026માં શરૂ થશે. મેટ્રો-2બીના પહેલા તબક્કામાં મંડાલા, માનખુર્દ, બીએસએનએલ (ગોવંડી), શિવાજી ચોક (ચેંબુર) અને ડાયમંડ ગાર્ડન એમ પાંચ સ્ટેશન છે.એલિવેટેડ મેટ્રો-9 રૂટ દહિસરથી નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન (ભાઈંદર) સુધીનો છે. આ રૂટના ચાર સ્ટેશનના પહેલા તબક્કાની તૈયારી પૂરી થઈ છે. વડાપ્રધાનના હસ્તે આ રૂટના પહેલા તબક્કાનું ઉદઘાટન થવાનું છે. આચારસંહિતા પૂરી થયા પછી 2026ની શરૂઆતમાં આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થશે. આ રૂટના પહેલા તબક્કામાં દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મિરાગાવ અને કાશીગાવ સ્ટેશનનો સમાવેશ છે.. થાણેને હજી થોડા મહિના પ્રતિક્ષા : ગાયમુખ-કાસારવડવલી-ઘાટકોપર-વડાલા મેટ્રો-4 અને મેટ્રો-4એ થાણે મેટ્રો તરીકે જાણીતી છે. 2025ના ડિસેમ્બરમાં આ મેટ્રો રૂટનો પહેલો તબક્કો શરૂ થવાનો હતો. પણ હજી થયો નથી. ગાયમુખથી વિજયનગરી સુધી પાંચ સ્ટેશનમાં પરીક્ષણ કર્યા પછી આ રૂટનો પહેલો તબક્કો તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું. નિયોજન અનુસાર પહેલા તબક્કામાં ગાયમુખ-કાસારવડવલી-કેડબરી જંકશન એમ 10 સ્ટેશનનો સમાવેશ હતો. હવે આ રૂટ શરૂ થાય એવા ચિહ્ન છે. એના માટે 2026નું વર્ષ અડધુ પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. મેટ્રો-9ને સુરક્ષા પ્રમાણપત્ર :દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના દહિસરથી કાશીગાવ તબક્કાના સુરક્ષા તપાસની શરૂઆત મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા, દિલ્હીએ કરી છે. સુરક્ષા પ્રમાણપત્ર મેળવીને મેટ્રો સંચાલનનો માર્ગ ખુલ્લો કરવાની આ છેલ્લી અને મહત્વની પ્રક્રિયા શરૂ થવાથી ટૂંક સમયમાં આ તબક્કાને સુરક્ષા પ્રમાણપત્ર મળશે. એ પછી આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અત્યારે મહાપાલિકાની ચૂંટણીના લીધે આચારસંહિત લાગુ થયેલી છે. આચારસંહિતા પૂરી થયા પછી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં દહિસરથી કાશીગાવ મેટ્રો દોડે એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:57 am

વેરા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં:550 મોબાઇલ ટાવરનો રૂપિયા 50 કરોડથી વધુનો વેરો બાકી, સામાન્ય બાકીદારની મિલકત સીલ કરતી મનપાનું ભેદી મૌન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસૂલાતનો આંક વધારીને રૂ.459 કરોડ કરવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા બાકીદારોની મિલકત સીલિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે ત્યારે બીજીબાજુ મનમાની કરતી મોબાઇલ કંપનીઓ દ્વારા શહેરમાં આડેધડ ખડકાતા મોબાઇલ ટાવરનો રૂ.50 કરોડથી વધુનો વેરો હજુ સુધી ભરપાઇ કરવામાં ન આવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સામાન્ય બાકીદારોની મિલકત સીલ કરતી મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ મોબાઇલ ટાવરની કંપનીઓ પાસે બાકી લેણાની ઉઘરાણી માટે સીલની કાર્યવાહી કરવાના બદલે ઘૂંટણિયે પડી ગઇ હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2018થી કાર્પેટ આધારિત મિલકત વેરા લેવાની શરૂઆત કરવામાં ત્યારથી મોબાઇલ કંપનીના વેરાનો ભારાંક વધારીને રૂ.50 કરવામાં આવ્યો હતો. તેની સામે મોબાઇલ કંપનીઓઓ રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે તેમની માગણી નહીં સ્વીકારતા અંતે ન્યાયાલયનો આશરો લીધો હતો અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવી મહાનગરપાલિકા કરતા રાજકોટ મહાનગરપાલિકાનો ભારાંક વધારે હોવાનું જણાવી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ મોબાઇલ ટાવર કંપનીઓનો ભારાંક રૂ.50 પરથી ઘટાડીને રૂ.15 કરવામાં આવ્યો હતો. આમ છતાં અનેક મોબાઇલ કંપનીઓએ ભારાંક ઘટાડવાની માગણી ચાલુ રાખી મોબાઇલ ટાવરનો વેરો ભરવાનું બંધ કરી દેતા બીએસએનએલ, જિઓ, સહિતની કંપનીઓનો રૂ.50 કરોડથી વધુનો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરા વસૂલાતની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી દેવાયા બાદ મોબાઇલ ટાવરના વેરા વસૂલાતની કામગીરી ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશન અને મેનેજરોને સોંપવામાં આવી છે, પરંતુ આ અધિકારીઓને મોબાઇલ કંપની પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તે રીતે તેની માહિતી છુપાવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને કેટલો વેરો બાકી છે તે બાબતે પૂછતા એકબીજાને ખો આપી રહ્યા છે. આ અધિકારીઓ શા માટે મોબાઇલ ટાવર સીલ કરવાની કાર્યવાહી કરતા નથી તે બાબતે પણ મૌન સેવી લેતા ઇસ્ટ ઝોનના મેનેજર ગૌરવ ઠક્કર, આસિસ્ટન્ટ મેનેજર એચ.પી.રૂપારેલિયા સહિતના અધિકારીઓનો રોલ પણ શંકાના દાયરામાં આવી ગયો છે અને કોઇ અગમ્ય કારણોસર તેઓ મનપાનો બાકી વેરો વસૂલવા પ્રયાસ કરતા ન હોવાની છાપ ઊભી થઇ છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ બીએસએનએલ કંપનીનો રૂ.14 કરોડથી વધુનો વેરો બાકી છે અને તેનાથી પણ વધુ રિલાયન્સ જિઓ કંપનીના મોબાઇલ ટાવરનો વેરો બાકી છે ત્યારે શા માટે તેમની સામે કાર્યવાહી કરાતી નથી તે મોટો સવાલ છે. આ બાબતની માહિતી મેનેજર આપશે: આસિસ્ટન્ટ મેનેજરે હાથ ખંખેર્યામહાનગરપાલિકાની સેક્રેટરી બ્રાન્ચમાંથી માહિતી લીક કરવાની શંકાએ હાંકી કઢાયેલા સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલિયા હાલમાં ઇસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ કંપનીઓનો વેરો બાકી છે તેની સંપૂર્ણ ખબર છે, પરંતુ માહિતી તો કાલે મેનેજર જ આપશે. ત્યારે શા માટે તેઓ માહિતી આપવાથી કતરાઇ રહ્યા છે અને કોને બચાવી રહ્યા છે તપાસનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:54 am

કૌભાંડીઓનો ખેલ ઊલટો પડ્યો:રાજકોટના તત્કાલીન પ્રાંત અધિકારીએ ખાનગી ઠેરવેલ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરાયો

પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે. 46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોની કિંમતી વેજાગામની એક એકરથી વધુ જમીન વર્ષ 2016માં રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા એક જ ઝાટકે ખાનગી ઠેરવી નાખ્યા બાદ ચટ મંગની પટ વિવાહ ઉક્તિ મુજબ ઉપરાછાપરી બબ્બે વેચાણ દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યા હતા. જોકે બિનખેતી પોટેનશિયલ વાળી આ જમીન ખાનગી ઠેરવી દેવાના હુકમને જિલ્લા કલેક્ટરે રિવિઝનમાં લઈ તત્કાલીન પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી દેતા જમીન કૌભાંડિયા તત્ત્વોની મેલી મુરાદ બર નથી આવી ઊલટું સરકારી જમીન ખાનગી ઠેરવવા કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ વેજાગામ રેવન્યુ સરવે નંબર-57 પૈકી 4ની 1એકર 5 ગુંઠા જમીન વર્ષ 1968માં પ્રમોલગેશનથી સરકારના નામે ચાલતી હોય વર્ષ 1969માં નોંધ નંબર 205 રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં અચાનક જ વર્ષ 2016માં તત્કાલીન રાજકોટ સિટી પ્રાંત-2 અધિકારી દ્વારા પરચૂરણ અપીલ કેસ ચલાવી અરજદાર સોમાભાઈ મેરૂભાઇ માલકિયાની નોંધ પાડવા હુકમ કરી દીધો હતો. હકીકતમાં આવા કેસમાં પ્રથમ વિલંબ માફીની અરજી બાદ નિર્ણય લેવાતો હોય છે અને સરકાર અને ખાનગી માલિક વચ્ચેના જમીન વિવાદને જમીન મહેસૂલ કાયદાની કલમ 37/2 અન્વયે ચલાવવાને બદલે સીધી જ પરચૂરણ અપીલમાં સરકાર હેડે ચાલતી કરોડોની કિંમતી જમીન ખાનગી નામે ચડાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા સત્તા બહાર જઈ પ્રાંત અધિકારીએ કરેલ ગેરકાયદેસર હુકમને રિવિઝનમાં લઈ સરકારના હિતને નુકસાન કરતા હુકમને રદ કરવા હુકમ કરી બોજા રહિત સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. નોંધનીય છે કે, 46 વર્ષ બાદ ખાનગી નામે જમીન ચડતા જ આ જમીનના ઉપરાછાપરી બે વેચાણ દસ્તાવેજ પણ થઇ ગયા હોય જમીન ખરીદનારાઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. ત્રંબામાં કસ્તુરબા આશ્રમને ફાળવેલી જમીન ખાલસા રાખવાનો હુકમ યથાવત્ રાખતા જિલ્લા કલેક્ટરરાજકોટ તાલુકાના ત્રંબા ગામે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટને ખેતીનું શિક્ષણ અને છાત્રાલય માટે રેવન્યુ સરવે નંબર 277ની 35 એકર જમીન વર્ષ 1972માં ભાડાપટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે વર્ષો સુધી કસ્તુરબા આશ્રમને ફાળવવામાં આવેલ જમીન પર મૂળ હેતુ મુજબ ખેતીનું શિક્ષણ આપવાનું કે, છાત્રાલય બાંધકામનું કામ ન થતા વર્ષ 2006-07માં શરતભંગ કેસ ચલાવી નાયબ કલેક્ટર દ્વારા શરતભંગ સાબિત માની છાત્રાલય માટે ફાળવેલી 20 એકર જમીન તેમજ ખેતીના શિક્ષણ માટે આપેલી 15 એકર જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જેની સામે ટ્રસ્ટના વર્તમાન પ્રમુખે 17 વર્ષ બાદ વિલંબ માફ કરવાની અરજી કરતા વિલંબ માફીના કારણો વાજબી ન લાગતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિલંબ માફીની અરજી રિજેક્ટ કરી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:53 am

એસએસજીના તબીબની ખાનગી હોસ્પિ.માં સર્જરી:ખભાના ફાટેલા સ્નાયુની છીદ્ર કરીને સર્જરી,હવે એસએસજીમાં પણ થશે

ઇજા કે વધતી વયને લીધે જ્યારે ઘણીવાર ખભા, ઘૂટણ અને ઘૂંટીના હાડકામાંથી સ્નાયુ છૂટા પડી જાય કે ફાટી જતા હોય છે, ત્યારે વ્યક્તિને એ અંગ હલાવતાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આ ફાટેલા કે જુદા પડેલા સ્નાયુઓનું હાડકાં સાથે ફરી જોડાણ કરવાની ચીરફાડ વિનાની પહેલી સફળ સર્જરી શહેરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી. લેટેસ્ટ જર્મન ટેક્નોલોજી પર આધારિત આ સર્જરી આગામી સમયમાં એસએસજીમાં પણ થાય તેવી શક્યતા છે. આ સર્જરીમાં જે અંગના સ્નાયુ ફાટ્યા હોય ત્યાં એક અતિશય નાનું છીદ્ર પાડીને દૂરબીન મોકલાય છે, જે સ્નાયુનું પરીક્ષણ કરે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ 6થી 16 ચો. સેમીના માપનો એલોગ્રાફ્ટ મૂકાય છે. આ સર્જરી સ્પંદન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન ડૉ. ધ્રુવ શાહના નેતૃત્વમાં શહેરમાં પ્રથમ ડર્મલ એલોગ્રાફ્ટ ટેક્નિક સાથે કરાઈ હતી, જેમાં દર્દીને 3 જ ટાંકા લેવાયા હતા. એલોગ્રાફ્ટ જર્મન ટેક્નોલોજીથી બને છે. જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિ જેમણે અંગદાન કર્યું હોય તેની ત્વચામાંથી તૈયાર કરાય છે. તેમાં સ્નાયુના રિપેરિંગ માટેના વિશેષ પ્રોટીન, કોલાજન અને ગ્રોથ ફેક્ટર્સ ઉમેરાય છે. આ જ કારણસર એક એલોગ્રાફની કિંમત 3થી 4 લાખ હોય છે. ડર્મલ એલોગ્રાફ્ટ સપોર્ટ પેચ જેવું કામ કરે છેડર્મલ એલોગ્રાફ્ટ ખભાના ફાટેલા સ્નાયુ માટે સપોર્ટ પેચ જેવું કામ કરે છે, જે મજબૂતી આપી ઝડપથી રૂઝ લાવે છે. 62 વર્ષીય વૃદ્ધાને 6 મહિનાથી ડાબા ખભે દુ:ખાવો થતો હતો, તેઓને હાથ ઉપર લઈ જવામાં તકલીફ પડતી હતી. હવે રિકવરી 4થી 6 મહિનામાં આવી જશે. > ડો. ધ્રુવ શાહ, ઓર્થોપેડિક સર્જન

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:52 am

આપઘાતનો મામલો આવ્યો સામે:પોતાના જ કારખાનામાં ફાંસો ખાઈ માલિકે આપઘાત કર્યો

શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનું ધરાવતાં 31 વર્ષીય યુવકે પોતાના કારખાનામાં ઉપરના માળે આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઇમર્જન્સી વિભાગના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે દોઢ વર્ષના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટામવા પાસે આવેલ અલ્ટોસા લિવરી એરપોર્ટમેન્ટ રહેતા મીત પ્રફુલભાઈ ખાનપરા(ઉં.વ.31)નામના યુવકે રવિવારે સવારે વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા પોતાના ઉમિયાજી પંપ નામના કારખાનાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગે જાણ અહીં કામ કરતાં મજૂરોને થતાં દેકારો કરી મૂકતા આસપાસના પાડોશી કારખાનેદારોએ દોડી જઈ તુરંત જ બેભાન હાલતમાં મીતને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં અહીં તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હાય. ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક એક ભાઈ એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. પીએમ રૂમ હાજર મૃતકના સ્વજનોએ જણાવ્યા મુજબ, મીત સવારે પોતાના નિયત સમય કરતાં વહેલો કારખાને આવ્યો હતો અને અચાનક જ અહીં કામ કરતા શ્રમિક પાસે ઉપર ગોડાઉનની ચાવી માગી હમણા માલ આવે છે તેવું કહ્યું હતું. ગોડાઉનમાં ઘણો સમય વિત્યો હોવા છતાં મીત નીચે ન આવતા શ્રમિક જોવા જતાં લટકતો જોવા મળ્યો હતો. બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:50 am

ભાસ્કર એક્સપર્ટ:ઉત્તરાયણ પૂર્વે 10 દિવસમાં દોરા-તારમાં સમડી-ઘૂવડ સહિત 20 પક્ષીઓ ફસાયાં

ઉતરાયણના દિવસોમાં લટકતા દોરામાં પક્ષીઓ ફસાવાની ઘટનાઓ વધે છે. ફાયરબ્રિગેડના ડેટા મુજબ 10 દિવસમાં શહેરમાં 20 પક્ષીને રેસ્ક્યૂ કરાયા છે. લટકતા દોરામાં સૌથી વધુ 14 કબૂતરો ફસાયા હતા. જ્યારે અજબડી મિલ પાસે પિપળાના ઝાડ પર લટકતા દોરામાં સમડી ફસાઇ હતી. જેને બચાવવા બીજી સમડી આવી તો તે ફસાઇ ગઇ હતી. દરગાહના ખાદિમ અને સામાજિક કાર્યકરે જોતાં 112 પર કોલ કરતાં ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. ફાયરબ્રિગેડે આવીને સમડીને દોરામાંથી કાઢતા તે તુરંત જ ઊડી ગઇ હતી. કબૂતર વિશે વાત કરતાં એક પક્ષીવિદે કેટલીક રસપ્રદ વાત જણાવતા કહ્યું કે, કબૂતરો કેટલી નજીકથી દોરા જોઇ ઓળખી શકે છે તેનું કોઇ સંશોધન હજી સુધી થયું નથી. કબૂતર જ્યારે પણ ઊડે ત્યારે ઝડપભેર ઉડતા દોરામાં તુરંત જ ફસાય છે. તેની સંખ્યા પણ વધુ હોય છે. વળી તેના હાડકા અને પાંખ પોંચી હોવાથી વધુ ઇજા થાય છે. સમડીઓમાં સ્વજનને બચાવવાની વૃત્તિ વધારેસમડીની ખાસિયત એ છે કે, તેના બચ્ચા પુખ્ત થાય પછી જ ઊડે છે. અજબડી મિલના કિસ્સામાં પણ લોકોને મોટી સમડી દેખાઇ પણ તે ખરેખર બચ્ચું હશે, જે ફસાયું હતું અને તેની માતા સમડી તેને બચાવવા આવી હોય તેવી શક્યતા છે. સમડીઓમાં મુશ્કેલીમાં ફસાયેલા સ્વજનને કે સાથીને બચાવવાની સહજવૃત્તિ વધુ હોય છે. વાડી, ગોત્રી રોડ સહિતના વિસ્તારમાં પક્ષી ફસાયાં10 દિવસમાં વાડી ભાટવાડા, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેના ઝાડમાં, હસ્તીનાપુર સોસાયટી સામે, અજબડી મિલ પાછળ, પોપ્યુલર બેકરી પાસે (ઘુવડ), શ્રી હરિટાઉનશિપ, આજવા રોડ, તોડાવાળાનો ખાંચો, ગાજરાવાડી સુએઝ પંપિગ સ્ટેશન, તરસાલી તળાવ પાસે, યશ કોમ્પ્લેક્સ પાસે, દાંડિયાબજાર ગણપતિ મંદિર પાસે, સ્ટારસિટી, તાંદળજા સહિતના સ્થળોએ પક્ષીઓ દોરામાં ફસાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:50 am

ફરિયાદ નોંધાઈ:કૌટુંબિક કાકાની ટ્રેડર્સના વેપારીને ધમકી, છરી બતાવી ગાળો ભાંડી

શહેરના રેસકોર્સ રિંગ રોડ આઈસક્રીમ પાછળ શ્રીરામ પાર્ક શેરી નં.2માં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ દુધાત્રા નામના ટ્રેડર્સના વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રાનું નામ આપ્યું હતું. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાય નામનો ટ્રેડર્સનો વેપાર છે. કૌટુંબિક કાકા પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રા જકાતનાકા પાસે ખોડિયાર માતાજીના મંદિર ખાતે એકલા રહે છે. તા.01/01/2026ના રોજ પુરુષોત્તમભાઈ તેની ટ્રેડર્સની ઓફિસ બહારથી પસાર થયા ત્યારે પોતે અન્ય વેપારીઓ સાથે ત્યાં ઊભા હોય તે સમયે પુરુષોત્તમભાઈએ આવીને કહ્યું કે, તારા પિતાજીને સમજાવી દેજે, મારા એકેય કામમાં આડા ન આવે. જે બાબતે સમજાવવા જતા તેમણે છરી બતાવી ગાળો ભાંડી હતી. આ મામલે પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

યુવક સામે ગુનો દાખલ:નંબર પ્લેટ વિનાની બુલેટ, મોડિફાઈડ સાઇલેન્સર મુદ્દે પોલીસ સાથે ઝપાઝપી કરનાર યુવક સામે ગુનો દાખલ

શહેરમાં ટ્રાફિક નિયમન કરવામાં અસમર્થ વડોદરા પોલીસ હવે શહેરીજનો સાથે રીઢા આરોપી જેવો વ્યવહાર કરતી થઈ ગઈ છે. શનિવારે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની બુલેટ અને તેમાં લાગેલા મોડિફાઈડ સાયલન્સરને લઈને બાજવાના યુવક કૌશલસિંહ જાટ વિરુદ્ધ રાવપુરા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે. યુવકે આક્ષેપ કર્યો હતો કે તેને ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસે માર માર્યો હતો. રાવપુરા પોલીસ મથકમાં પશ્ચિમ ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ જોગદીયા દ્વારા કૌશલસિંહ જાટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, બુલેટ ચાલક સવારે 10:35 વાગે ચાર રસ્તા પર સિગ્નલ પાસે ઉભો રહી મોબાઈલ પર વાત કરતો હતો. બુલેટની આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી. મોડિફાઈડ સાઈલેન્સર લગાવ્યું હતું. વાહનચાલકને સાઈડમાં લઈ જતા તેને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યાં છે. જેમાં બુલેટ ચાલકને ત્રણથી ચાર પોલીસકર્મીએ જાહેર રોડ પર ખેંચીને પોલીસવાનમાં ધકેલ્યા બાદ માર માર્યો હતો. પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં સ્ષષ્ટ દેખાઈ આવતી હતી. રાવપુરા પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

વ્યાજખોરો સામે નોંધાયો ગુનો:રિક્ષાચાલકને વ્યાજના ચક્રમાં ફસાવી ઉઘરાણી કરતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટના જંગલેશ્વર કીર્તિધામ સોસાયટીમાં રહેતા સતારભાઇ ખમીશાભાઈ પતાણી(ઉ.વ.50) એ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે કુલસુમબેન મેમણ, હનિફ અને યુવરાજ ડાંગર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. આશરે ચાર વર્ષ પહેલાં ભવાની ચોક નજીક પાનની દુકાને જતી વખતે તેમનો પરિચય કુલસુમબેન મેમણ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રિક્ષાના એન્જિન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતા તેમણે કુલસુમબેન પાસેથી કટકે-કટકે કુલ રૂ.3.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. તેઓને દર મહિને 30,000 વ્યાજ પેટે ચૂકવતો હતો. છેલ્લા બે વર્ષથી નિયમિત વ્યાજ ભર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક તંગીને કારણે તેઓને વ્યાજ ભરી શકાયું નહોતો. ફરિયાદીએ દેવપરામાં રહેતા હનિફ નામના શખ્સ પાસેથી 20,000ની ડાયરી કરાવી હતી. જેમાં વ્યાજ કાપીને રકમ આપવામાં આવી હતી. જે રકમનું દોઢ વર્ષમાં અંદાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે ચૂકવ્યું હતું. સતારભાઇએ આવી જ રીતે યુવરાજ ડાંગર નામના શખ્સ પાસેથી 30,000ની ત્રણ ડાયરી કરાવી હતી. મહિલા સહિત ત્રણેય વ્યાજખોરો ફરિયાદીના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળીને સતારભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

26મી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન:DRDOની 41 લેબ અને 5 યંગ સંસ્થા ભારતને આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરે છે: ડૉ.ઉપેન્દ્રસિંહ

27 ડિસેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે DRDOના ઉપેન્દ્રસિંહે કહ્યું હતું કે, ભારતને અતિ આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 41 લેબોરેટરી અને 5 ડીઆરડીઓ યંગ સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપીને શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મનિર્ભર જ નહીં નિકાસકર્તા દેશ તરીકે સિદ્ધિ મળી છે. રાજકોટના વતની અને રાજદૂત તરીકે વિવિધ દેશોમાં સેવા આપી હાલમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસના ડાયરેક્ટર જનરલ પદે સેવા આપી રહેલ સુજોય ચિનોય એ શિબિરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, વૈશ્વિક સ્તરે સામાજિક- આર્થિક પરિસ્થિતિના બદલાવના લીધે અગાઉની માત્ર અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવીયના સ્થાને બહુધ્રુવીય વ્યવસ્થા નિર્માણ થવા પામી છે. આવા સંજોગોમાં પરસ્પર હિત ટકરાતા હોય એવા બંને દેશો જેમકે, અમેરિકા-રશિયા, ઇરાન-સાઉદી અરેબિયા, ઇઝરાયેલ- પેલેસ્ટાઇન એમ બંને દેશ સાથે કૂટનીતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ ટેરરથી વિશ્વના દેશો વિચલિત થયા, પરંતુ ભારત ઉપર તેની અસર નહિવત રહી. બેંગ્લોરથી પધારેલા જે.એન.પ્લેનેટોરિયમના વૈજ્ઞાનિક ડૉ.બી.આર. ગુરુપ્રસાદે ભારતે ઇસરોની સ્થાપના પછી અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓની અલભ્ય ડોક્યુમેન્ટરી વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવી હતી. જેમાં ચંદ્રની ધરતી ઉપર મિનરલ્સ-પાણીની શોધ માટે ચંદ્રયાન-1,2,3 તેમજ સૂર્ય ગ્રહના સંશોધન માટે આદિત્ય એલ-1, મંગળ ગ્રહ ઉપર પાણીના સ્રોત અને માનવ વસાહતના સંશોધન માટે ગ્રહથી માંડીને ઈસરો અને નાસાના સંયુક્ત સાહસ એવા નિસાર ઉપગ્રહને અંતરીક્ષમાં મૂકવો, કેવી રીતે એકસાથે 104 ઉપગ્રહ તેમજ બાહુબલી 6500 કિગ્રાનો કદાવર સેટેલાઈટનું પ્રક્ષેપણ કર્યુ વિગેરેથી શિબીરાર્થીઓને અભિભૂત કર્યા હતા. રાષ્ટ્રકથા શિબિરમાં 1310 સૈનિકનું શિબિર દરમિયાન ક્રમશઃ હસ્તે શાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ રાજ્યમાં 17,303 શિબિરાર્થીઓ સાથે આવેલ શિક્ષકો, વિનામૂલ્યે રાતદિવસ સેવા આપનાર મળીને 1200થી અધિક સહયોગીઓનું પણ સન્માન કરાયું

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

હાર્ટ એટેક:ચાલુ બાઇકે પ્રૌઢ ઢળી પડ્યા, 108ના સ્ટાફે 6 મિનિટ સીપીઆર આપ્યો છતાં જીવ ન બચ્યો

વાડી વિસ્તારમાં રહેતા પૌઢ રવિવારે બપોરે વાડી ટાવર પાસેથી બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ચાલુ બાઈક પરથી ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પૌઢને હાર્ટ એટેક આવ્યો હશે. હાલમાં વાડી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓ રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાંં જ વડોદરાના એક મહિલા તબીબનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું, જેમની વય 40 વર્ષ હતી. ત્યારે હાલમાં એક બાઈક ચાલકને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવી ગયો હતો. વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળમાં રહેતા 55 વર્ષીય સુજીતભાઈ મારકન્ડે રવિવારે તેમની દીકરી માટે કોઈ વસ્તુ લેવા માટે વાડી ટાવર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાડી ટાવર પાસે તેઓ ચાલું બાઈકે તે ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને 6 મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો. કોઈ પ્રતિસાદ ન મળતા 108 તેઓને લઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કિસ્સામાં ફુડ અને હવાના પ્રદૂષણ સાથે ઘણા પાસા જવાબદાર છે હાલમાં જે રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, સાથે ખાવાની સામગ્રીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે આ પ્રકારની તકલીફ વધી રહી છે. આ સાથે હાલમાં જે રીતે નાની વયના બાળકો અને જુવાન લોકોમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે અને તે તપાસની બાબત છે. આવા કિસ્સાઓમાં ઘણા પાસાઓ કામ કરે છે. આવા કિસ્સાઓમાં તે પાસુ પણ કામ કરે છે કે, તમારી પેઢીમાં કોઈને આ પ્રકારની તકલીફ છે કે કેમ..? આજકાલ લોકો પેકેટ ફૂડ તરફ વધી રહ્યા છે. જે નુકસાનકારક છે. પહેલા શ્રમજીવીઓ બાજરીના રોટલા જમતા હતા પણ હવે તે પણ પેકેટ ફૂડનું જમે છે. લોકોએ પોતાનું જમણ સુધારવું જોઈએ. સાથે સ્વાસ્થવર્ધી આદતો અપનાવવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ. જો તમારી પેઢીમાં કોઈને હૃદયની તકલીફ હોય તો નિયમિત રીતે હૃદયની તપાસ કરાવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

તૈયારીની સમીક્ષા કરશે હર્ષ સંઘવી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં

આગામી તા.11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થનાર હોય રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે . તેઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે પણ બેઠક યોજશે. કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તડામાર તૈયારી વચ્ચે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે બેઠક યોજશે તેમજ કોન્ફરન્સની તૈયારીની પણ સમીક્ષા કરશે. આ તકે, ઇન્ડેક્સ- બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપટ સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:45 am

વોર્ડ 13 અને 14 વચ્ચે અટવાયેલો વિસ્તાર વિકાસથી વંચિત:લહેરીપુરા ન્યૂ રોડની વર્ષો જૂની સમસ્યા, પાર્કિંગ-ટ્રાફિક જામથી ત્રસ્ત વિસ્તારમાં જાહેર શૌચાલય શોધ્યું જડતું નથી

શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આઝાદી બાદ વિકસેલા લહેરીપુરા ન્યૂ રોડને છેલ્લા દોઢ દાયકાથી પાર્કિંગ અને ટ્રાફિક જામ સહિતની સમસ્યા આભડી ગઇ છે. હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ, પાઇપ્સના જૂના હબ તરીકેની ઓળખ ધરાવતા આ રસ્તા પર 200 જેટલી દુકાનોના દુકાનદારો અને ગ્રાહકોને પળોજણ પજવે છે. ટુ વ્હીલર પાર્કિંગ કરે તો નિયમભંગ અને ટોઇંગનો ભય સતાવે, જ્યારે ફોર વ્હીલર ગ્રાહક તરીકે આ રસ્તા પર પાર્ક કરી શકો તો ગત જન્મારાના કોઇ પુણ્ય કર્મોના ફળ હશે, કંઇક એવું લોકો માને છે. ન્યૂ રોડ, મંગળબજારના વેપારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, આ બે સમસ્યાઓની સાથે ત્રીજી શૌચાલયની છે. આ રસ્તાની 200 જેટલી દુકાનો વચ્ચે એક પણ શૌચાલય નથી. દુકાનદારો કહે છે કે, અમે ચાલીને મંગળબજારની ખખડધજ મુતરડીએ જઇએ છીએ. સૌથી મોટી વિચિત્રતા એ છે કે, એક બાજુ વોર્ડ-13, બીજી તરફ 14, દુકાનદારો આ વિસ્તારના રહીશો નથી એટલે વોર્ડ ઓફિસો દુકાનદારોને ખો-ખો રમાડે છે. આ હેરિટેજ અને આર્થિક મહત્ત્વ ધરાવતા વિસ્તારના લોકો, વેપારીઓ તથા ગ્રાહકોની સમસ્યાના રિપેરિંગ પ્રોજેક્ટને આ વિસ્તારના વિકાસપ્રેમી નેતાજીઓ અવગણે છે. છેલ્લાં 8 વર્ષથી અવાવરુ પડેલી પોલીસ કેબિનનું દબાણ હટશે?લહેરીપુરા ન્યૂ રોડ પર લોકોને વાહન પાર્ક કરવા હવાતિયાં મારવાં પડે છે. જ્યારે પોલીસ વિભાગની મસમોટી કેબિન અહીં 8 વર્ષથી અવાવરુ પડી છે. આસપાસના લોકોના જણાવ્યા મુજબ અહીં 2017-18માં છેલ્લે તેનો ઉપયોગ થયો હતો, પછી ક્યારેય પોલીસ કર્મી જોવા મળ્યા નથી. હાલ પૂરતું તો એ જ આશા કે કોઇ ઉચ્ચ અધિકારીની પ્રજાકીય સગવડની સાચી ભાવના જાગે અને 20 ફૂટ લાંબી આ કેબીન હટે તો વિસ્તારની સમસ્યાના ઉકેલમાં પોલીસનું પ્રદાન પણ આ વિસ્તાર લાંબા સમય સુધી યાદ રાખશે. વાહન વ્યવહારના સંચાલન માટે એકેય ટ્રાફિક પોલીસ મૂકાતો નથી પાલિકાની વોર્ડ નં.14ની જૂની કચેરીની ઇમારત લહેરીપુરા ચોકી પાસે છે, જે લાંબા સમયથી બિનવપરાશી છે. નવી વોર્ડ ઇમારત બની ગઇ છે. હવે આ બિલ્ડિંગ ઉતારીને ત્યાં જાહેર હિતની સુવિધાઓ ઊભી કરવી જોઇએ. > પરેશ પરીખ, વેપાર વિકાસ એસોસિયેશન ન્યૂ રોડ જ નહીં, પણ મંગળબજારના વેપારીઓ પણ મૂતરડીની સુવિધા ઝંખે છે. અહીં 400 જેટલી દુકાનો છે અને 350થી વધુ પથારાવાળાઓ છે. રોજના 7થી 10 હજાર ગ્રાહકો આવે છે, પણ એક જ જાહેર મુતરડીની સુવિધા છે. > જય ઠાકોર, પ્રમુખ, મંગળબજાર એસોસિયેશન ન્યૂ રોડ પર જમણી તરફનો પટ્ટો વોર્ડ નં.13માં છે, જ્યારે ડાબી તરફનો વોર્ડ નં.14માં છે. જ્યારે પણ રોડનો વિકાસ થાય ત્યારે એક જ તરફનો થાય છે. વેપારીઓને વોર્ડ ઓફિસમાં જઇને દર વખતે રજૂઆત કરવી પડે છે. > રાજેશ પટેલ, પ્રમુખ, ન્યૂ રોડ વેપારી એસોસિયેશન ન્યૂ રોડના ફૂટપાથનું છેલ્લાં 40 વર્ષથી રિપેરિંગ થયું નથી. ફૂટપાથ પર ગ્રાહકો ચાલે છે, પણ ઘણીવાર પડી જાય છે. આ વિસ્તારમાં ટ્રાફિક જામ થાય છે અને પાર્કિંગ પણ થતું નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે.> સાગર પંડ્યા, સ્થાનિક વેપારી ન્યૂ રોડ વિસ્તારમાં હજારો લોકોની અવર-જવર છે, બેંકો છે, જ્યાં પણ સેંકડો લોકો આવે છે. જોકે ટ્રાફિક સંચાલન માટે એકેય ટ્રાફિક પોલીસને તૈનાત રાખવામાં આવતો નથી. જેથી આ સમસ્યાને રામ ભરોસે છોડી દેવાય છે. > જિજ્ઞેશ પરીખ, સ્થાનિક વેપારી

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:44 am

ભાસ્કર એક્સક્લુસિવ:હવે જમીન માપણી માટે જિલ્લા કચેરીએ ધક્કા નહિ થાય, તાલુકા કક્ષાએ જ માપણી કચેરી

રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લામાં આગામી સમયમાં ડીઆઇએલઆર એટલે કે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તમામ તાલુકા મથકોએ જમીન માપણી કચેરી કાર્યરત કરવાની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આપેલ મંજૂરીને પગલે તમામ જિલ્લા કલેક્ટરને તાલુકા કક્ષાએ જમીન માપણી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના સેટલમેન્ટ કમિશનર દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને ડીઆઇએલઆર કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા મથકોએ જમીન દફતર કચેરી કાર્યરત કરવા માટે સૂચના આપી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી છે જેમાં ખાસ કરીને દરેક તાલુકા મથકોએ 18થી 20 કર્મચારીના મહેકમને ધ્યાને લઈ હાલમાં સિટી સરવે કચેરી કાર્યરત હોય તો તે સ્થળે અથવા મહેસૂલી કચેરી કે, તાલુકા સેવાસદન ખાતે જગ્યા ઉપલબ્ધ કાવવા તેમજ જગ્યા ઉપલબ્ધ ન હોય તો ભાડાની જગ્યામાં કચેરી કાર્યરત કરવા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જમીન માપણી, રિ-સરવે સહિતની કામગીરી ઝડપી થશેડીઆઇએલઆર કચેરીના વિકેન્દ્રીકરણથી નાગરિકોની કામગીરી ઝડપી બનશે સાથે જ નાગરિકોને હાલમાં જમીન માપણી માટે જિલ્લાકક્ષાએ થતા ધક્કા પણ બચી જશે. સાથે જ હાલમાં રાજ્યમાં જમીન રિ-સરવેને લગતા કેસનો ભરાવો થયેલ હોવાથી નવી વ્યવસ્થા બાદ નાગરિકોના રિ-સરવે સહિતના પ્રશ્નોનો પણ ઝડપથી ઉકેલ આવશે.> નિમિષ પટેલ, ડીઆઇએલઆર કચેરી, રાજકોટ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:42 am

વેદજ્ઞાન:150 બાળકોએ સલાકા પરીક્ષા આપી, યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ રજૂ કર્યા

શહેરના આજવા રોડ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે રવિવારે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ત્રિવેણી સંગમ યોજાયો હતો. જેમાં વિવિધ પાઠશાળાઓમાંથી યજુર્વેદના વિદ્યાર્થીઓ આવ્યા હતા.જેમની સલાકા પરીક્ષા લેવાઈ હતી. જ્યારે વ્યાકરણ અને જ્યોતિષ અંગેની પણ પરીક્ષા વિદ્વાન આચાર્યો દ્વારા લેવાઈ હતી. 150 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જ્યારે સાંજે સંસ્કૃતમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંતરામ મંદિર નડિયાદના મહંત રામદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, મંત્રી મનિષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વ્યાકરણની પરીક્ષા લેનાર પેટલાદના ડો. રઘુ જોશીએ જણાવ્યું હતું કે, પાણીની સંસ્કૃત ભાષાના વ્યાકરણ અને 3996 સૂત્રક્રમમાં બાંધી દીધી છે પાણીનીય મુનિ દ્વારા સ્વરના 14 સૂત્રો અપાયા છે. જેનો ઉપયોગ થાય તો સંસ્કૃતિ ઉપજતી તમામ ભાષા સરળતાથી શીખી શકાય. બારાક્ષરીમાં પ્લુતનો સમાવેશ નથી પરંતુ તે પણ ખૂબ જ જરૂરી છે. માત્ર બ્રાહ્મણને વેદ હોય છે તેવું નથીયજુર્વેદના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યા મુજબ ક્ષત્રિય, વૈશ્ય સમાજના લોકોને પણ ગોત્ર અને વેદ ભણવાનો અધિકાર છે. ગુજરાતમાં મોટાભાગે શુક્લ યજુર્વેદના બ્રાહ્મણો હોવાથી સામવેદના બ્રાહ્મણો મળતા નથી. વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2006 બાદ વધારો નોંધાયોયજુર્વેદ શીખેલા બાળકોએ 1થી 10 અધ્યાયના શુક્લ યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ અવરોહ સાથે રજૂ કર્યા હતા. વેદ શીખનારને પણ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી મળે છે. ડિગ્રી માનવામાં આવે છે તેથી વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 2006 બાદ વધારો નોંધાયો છે. કથા પૂર્ણ ન થાય તો યજમાન-વક્તાને દોષ લાગેવેદના જાણકાર નિસર્ગ ઉપાધ્યાય કુલદીપભાઈ પુરોહિત અને વિમલભાઈ વ્યાસે જણાવ્યુંહતું કે, કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી જો કથા પૂર્ણ કરવામાં ન આવે તો કથાના આયોજક યજમાન અને વક્તા બંનેને દોષ લાગે છે. ભાગવત જેવા ગ્રંથની એક કલાક પાઠ કરી સંદર્ભ કથા કરવી જોઈએ જેવી રીતે બાળકો વેદ ભણે છે, કંઠસ્થ કરે છે તેવી રીતે ધર્મ ગ્રંથો પણ કંઠસ્થ કરવા જોઈએ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:40 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વોર્ડ-9માં ગોપાલ ચોક પાસે RMCનું અક્કલનું પ્રદર્શન, રોડ વચ્ચે જ વાલ્વ ચેમ્બરથી અકસ્માતો

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે પ્રજાજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. શહેરમાં નવા નક્કોર રોડ બનાવ્યાના મહિનાઓના જ સમયગાળામાં રોડ ખોદી નાખી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવે છે ત્યારે એવો જ કિસ્સો શહેરના વોર્ડ નંબર 9માં સામે આવ્યો છે. જ્યાં પાણીની લાઈન નાખ્યા બાદ નવો રોડ તો બન્યો, પરંતુ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા ફરી રોડ બેસી ગયો. એટલું ઓછું હોય તેવામાં રોડ બનાવતા પહેલા પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાના બદલે રોડ બન્યા બાદ વાલ્વ ચેમ્બર બનાવી અહીં રોડ પર જ મલબો રાખી દેવામાં આવતા દરરોજ અનેક વાહનચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. શહેરના ગોપાલ ચોકથી બાપા સીતારામ ચોકને જોડાતા મુખ્ય રોડ પર વોર્ડ નંબર 9માં મનપાની વોર્ડ ઓફિસ સામે જ મહાનગરપાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી જોવા મળી રહી છે. ચોમાસા પહેલાં અહીં પાણીની નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ અભય ભારદ્વાજ હોલ પાસે પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાનું ઈજનેર અને કોન્ટ્રાક્ટર ભૂલી જતા પંદરેક દિવસ પૂર્વે રસ્તો ખોદી નાખી અહીં નવી વાલ્વ ચેમ્બર રોડની વચ્ચોવચ બનાવવામાં આવી છે. જોકે વાલ્વ ચેમ્બર બનાવ્યા બાદ હજુ સુધી રોડ પરથી પથ્થર, સિમેન્ટ સહિતનો મલબો હટાવવામાં આવ્યો ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મહત્ત્વનું છે કે, પાણીની લાઈન નાખવામાં આવ્યા બાદ અહીં નવો પેવર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ પાઈપલાઈન ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન થયું હોવાથી રોડનો એક ભાગ બેસી જતા ચોમાસામાં જ પેચવર્ક કરાયું હતું જે પણ હાલમાં બેસી ગયું હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:40 am

સિટી એન્કર:300 પાટીદાર મહિલાનો હૂંકાર, દાનમાં પહેલાં અમારું રક્ત લો, 100થી વધુએ રેકોર્ડબ્રેક રક્તદાન કર્યું, 70 મહિલાએ પ્રથમવાર રક્ત આપ્યું

છાણી લેઉઆ પટેલ સમાજના શનિવારે સવારે યોજાયેલી રક્તદાન શિબિરનો નજારો અભૂતપૂર્વ હતો. જેમાં પહેલીવાર 300 પાટીદાર મહિલા રક્તદાન માટે પહોંચી હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં લેઉઆ સમાજની મહિલાઓએ ક્યારેય રક્તદાન કર્યું ન હતું. સમાજના અગ્રણીઓ મુજબ શિબિરમાં 100થી વધુ પાટીદાર મહિલાઓનું રેકોર્ડબ્રેક રક્તદાન નોંધાયું હતું. મહિલાઓએ કહ્યું કે, 5 મહિના અગાઉ છાણીના લેઉઆ પટેલ હોલ ખાતે સંમેલનમાં સમાજની 800 જેટલી મહિલા હાજર રહી હતી. તે સમયે રક્તદાન શિબિરની જાહેરાત કરાઇ હતી. ત્યારે અમારામાં રક્તદાન માટે શંકા હતી. અમે 4-5ના ગ્રૂપમાં એકબીજાનો બ્લડ ડોનેશન કરી શકીએ છીએ, એ રીતે આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું. આજે શિબિર યોજાઇ ત્યારે 300 જેટલી મહિલા આવી હતી. હિમોગ્લોબીન ઓછું હોવાથી 200 મહિલા રક્તદાન ન કરી શકીરક્તદાન માટે 300 મહિલાઓ પહોંચી હતી, પણ 200 જેટલી મહિલાનું હિમોગ્લોબીન ઓછું હોવાથી રક્ત આપી શકી નહોતી. જ્યારે 100 મહિલાએ રક્તદાન કર્યું, જેમાંથી 70 મહિલાએ પહેલીવાર રક્ત આપ્યું હતું. યુવા સંગઠનના અગ્રણી હિતેશ પટેલે કહ્યું કે, શિબિરમાં મેડિકલ કેમ્પ હતો. જેમાં તબીબોએ હિમોગ્લોબિન વધારવા બીટ અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ સહિતના ઉપાયો દર્શાવ્યા હતા. શિબિરમાં 350 યુનિટ રક્ત એકત્ર થયું હતું. હવે રક્તદાનમાં મહિલાની સંખ્યામાં હજુ વધારો થશે ડાયેટ ચેન્જ કરવું જ પડશે. રક્તદાનથી એ વાત અડી ગઇ છે. બીજીવાર કેમ્પમાં આવીશું ત્યારે ચોક્કસ વધુ મહિલા રક્તદાન કરશે. > અર્પિતા પટેલ, છાણી રક્તદાન પુરુષોએ જ કર્યું છે, પાટીદાર મહિલા આવા કેમ્પમાં ગઇ નથી. આ શરૂઆત છે. અમને એ તો ખબર પડી કે શું ખાવું જોઇએ. > અંજલિ પટેલ, છાણી

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:38 am

વાહનચાલક માંડ માંડ બચ્યો:પીપીપી યોજનાની બિલ્ડિંગમાં 12મા માળેથી ક્રેનનો પાઇપ વાહનચાલક પર પડતાં ઘાયલ

રાજકોટના અમીન માર્ગ પાસે પીપીપી યોજના હેઠળ નિર્માણાધીન મણિયાર ક્વાર્ટરની બિલ્ડિંગમાં 12મા માળે લગાવેલી ક્રેન તૂટતાં તેનો એક પાઈપ રોડ પર પડ્યો હતો. આ સમયે એક યુવાન ત્યાંથી સ્કૂટર લઈને જઈ રહ્યો હતો અને પાઈપ સ્કૂટર પાસે પડતા તેનું વાહન અકસ્માતગ્રસ્ત થયું હતું. પાઈપ પડવાના અવાજથી ટોળાં એકઠા થયા હતા. સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી અને તુરંત જ યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીપીપી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ મણિયાર ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટનું કામ જે.પી. સ્ટ્રક્ચર્સને આપ્યું છે. સવારે 11 વાગ્યા આસપાસ આ બિલ્ડિંગમાં ક્રેનમાંથી એક ભાગ તૂટી પડતા રોડ પરથી પસાર થયેલા એક સ્કૂટરચાલક યુવાન પર પડ્યો હતો જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. મોહિત નામના યુવાને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટાફે યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો યુવાને પોતાનું નામ સાવન ઠુમ્મર(ઉ.વ.27 જણાવ્યું હતું. તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ સિવિલે પહોંચી ત્યાં યુવાનના સ્વજનો પણ પહોંચી ગયા હતા. જોકે સ્વજનોને સોંપ્યા પહેલાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ યુવાનને ત્યાં મૂકીને આવી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બિલ્ડર પર રોષ ઠાલવ્યો હતો. વધુ લોકો એકઠા થાય તે પહેલાં બિલ્ડરના હાજર સ્ટાફે અકસ્માતગ્રસ્ત એક્ટિવાને ઢસડીને બિલ્ડિંગ સાઈટની અંદર મૂકી દીધુ હતું. ક્રેન છોડાવતી વખતે ઘટના બની, બિલ્ડરને નોટિસ અપાશેટી.પી. શાખાના ઈજનેરોને આ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાંથી ક્રેન છોડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પાઈપ નીચે પડતા દુર્ઘટના બની હતી. આ અંગે બિલ્ડરની બેદરકારી હોવાથી સોમવારે તેને નોટિસ ફટકારવામાં આવશે. હાલ બિલ્ડિંગના બીજા સેફ્ટી પ્રોટોકોલની તપાસ ચાલી રહી છે. ભાસ્કર ઇનસાઇડબિલ્ડરની બેદરકારીજે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સનું ફોલ પ્રોટેક્શન નેટ વગર હાઈરાઈઝનું બાંધકામમનપાના જૂના હોદ્દેદારો અને પૂર્વ ઈજનેરો સાથે ઘરોબો ધરાવતા તેમજ પીપીપી કૌભાંડમાં જેમનું નામ અગાઉ આવી ગયું છે તેવા જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પાસે જ આ પ્રોજેક્ટ હતો જ્યારથી તેણે કામ ચાલુ કર્યું છે ત્યારથી જ વિવાદ ચાલ્યો છે. પોતાના સાધનો, લોખંડ તેમજ મશીન માટે રોડ બંધ કરી દેવો, ફૂટપાથ પણ દબાવી દેવી જેવી ફરિયાદો રહી છે. જોકે ગંભીર બાબત એ છે કે, 12 માળની બિલ્ડિંગ કે જે મુખ્ય રોડ પર જ બને છે તેમાં સુરક્ષાના માપદંડો રાખવામાં આવ્યા ન હતા. હાઈરાઈઝ બિલ્ડિંગમાં દરેક તબક્કે અલગ અલગ ઊંચાઈએ ફોલ પ્રોટેક્શન નેટ લગાવવી ફરજિયાત છે. આ કારણે જો કોઇ વસ્તુ પડે તો રોડ પર ન પડે અને મજૂર પડી જાય તો પણ તેનો જીવ બચાવી શકાય જોકે દરેક વખતે નિયમ ઘોળીને પી જતા બિલ્ડરોએ આ નિયમ પણ પાળ્યો ન હતો. ભાસ્કર ફર્સ્ટ પર્સનપાઈપ એક્ટિવાની આગળ પડ્યો, માથું સહેજમાં રહી ગયુંસવારે 11 વાગ્યે હું અને વરજાંગભાઈ બિલ્ડિંગની સામે ઊભા હતા. એવા સમયે બિલ્ડિંગ ઉપરથી એક પાઈપ પડ્યો અને નીચે રોડ પરથી નીકળતા એક્ટિવા પર પડ્યો. એક્ટિવાના આગળના ભાગમાં પાઈપ લાગતા મોરાનો ભાગ તૂટી ગયો અને યુવાન પડી જતા હાથ અને પગમાં લાગ્યું હતું. જો પાઈપ માથા પર જ પડ્યો હોત તો શું થાત તેની કલ્પના પણ ન કરી શકાય. યુવાન ભાનમાં હતો એ જોઇને રાહત થઈ. > હસમુખભાઈ સભાડ ઈનસાઇડ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:38 am

મંડે પોઝિટીવ:પ્રદૂષણ નાથવા પરંપરાઃ કૃષિ યુનિ.માં ગૌ ગોબર-ગૌ મૂત્ર થકી બનેલો ખેસ પહેરાવી અતિથિના સ્વાગતની પ્રણાલી

દેશભરમાં વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની છે. વડોદરા સહિતનાં શહેરોમાં એલઈડી સ્ક્રીન પર એક્યુઆઈ બતાવવો પડી રહ્યો છે. ત્યારે હાલોલ કૃષિ યુનિ. અને તાજપુરાની શ્રીનારાયણ ગીર ગૌશાળા સાથે સંકળાયેલા ડો.રાજુ ઠક્કરે વાયુ પ્રદૂષણથી બચાવે તે માટે ગૌ કવચ ખેસ બનાવ્યા છે. જે એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુને શોષે છે અને જેણે ખેસ પહેર્યો હોય તેની આસપાસની એર ક્વોલિટી પણ સુધારે છે. તેમણે કહ્યું કે, કંતાન પર છાણ, ગૌ મૂત્ર, કપૂર સહિતની ઔષધિનો લેપ લગાવી ખેસ તૈયાર કર્યો છે. હાલોલ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દ્વારિકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓને ગૌ કવચ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. અત્યાર સુધી 100 ખેસ બનાવ્યા છે. ખેસ નર્વસ સિસ્ટમને સક્રિય કરે છેગૌ કવચ ખેસનું વૈદિક, આરોગ્ય અને માનસિક લાભ ઘણા છે. જેમાં છાણની સુગંધ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જેને કારણે તણાવ, ચિંતા અને નકારાત્મક ઊર્જામાં ઘટાડો થાય છે. > ડો.રાજુ ઠક્કર, શ્રીનારાયણ ગીર ગૌશાળા, તાજપુરા ખેસના વૈજ્ઞાનિક લાભો

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:37 am

ભાસ્કર એનાલિસીસ:આ વર્ષે પણ પાણીની તંગી રહેવાનો પાલિકાનો અંદાજ, ટેન્કરોના કોન્ટ્રાક્ટમાં ગત વર્ષ કરતાં દોઢ કરોડનો વધારો

પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા વર્ષ દરમિયાન ભંગાણના સમારકામ સહિતની કામગીરીને પગલે જે તે વિસ્તારમાં પાણીની અછત સર્જાય છે, તે સમયે ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. આ સંજોગોમાં પાણી વિતરણ કરવા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. જેમાં ટેન્કર દીઠ રૂા.310 ચૂકવાશે. લાઇનમાં કોન્ટામિનેશન, લો-પ્રેશર, ગંદું પાણી, ભંગાણ, વાલ્વ બગડવા સહિતના પ્રશ્નના ઉકેલ માટે કામગીરી કરાય ત્યારે જે તે વિસ્તારમાં પાણી બંધ રહે કે ઓછું મળતું હોય છે. આ સંજોગોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે. ચારે ઝોનમાં ડિપાર્ટમેન્ટને ફાળવેલાં વાહનથી પાણી પહોંચાડાય છે, જે પૂરતું નથી. જેથી જરૂરિયાત પૂરી કરવા ખાનગી વાહનો ભાડેથી લેવાની જરૂર રહે છે. આ વાહનોની ઘટને પહોંચી વળવા પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા ભાડેથી ટેન્કર મેળવવા વાર્ષિક ઇજારો કરાય છે. કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થતો હોવાથી વહેલી પ્રક્રિયા કરાઈપાણી પુરવઠાની રોજિંદી અગત્યની અને આવશ્યક કામગીરીમાં વિક્ષેપ ન પડે તેમજ ખાતાની કામગીરી કરવામાં સાનુકૂળતા રહે તે માટે ચાલુ ઈજારો પૂર્ણ થતાં સુધી નવીન ઈજારાની કાર્યવાહી થઈ રહે તે માટે પહેલેથી ઇજારો આપવાની પ્રક્રિયા કરાઇ રહી છે. ગત વર્ષે એપ્રિલમાં ઇજારો કરાયો હતો. રુ 310માં 1 ટેન્કર પ્રમાણે વર્ષમાં 1,12,903 ટેન્કર વિતરણ થશેપાલિકાએ પાણીના ટેન્કરનો રૂા.3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત રજૂ કરી છે. જેમાં રૂા.310 લેખે 1 ટેન્કર પ્રમાણે વર્ષ દરમિયાન 1,12,903 ટેન્કરનું વિતરણ કરી શકશે. ગત વર્ષે પાલિકાએ 2 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં 1 ટેન્કરનો ભાવ રૂા.389 હતો, જે પ્રમાણે 51,413 ટેન્કરથી પાણીનું વિતરણ કરાયું હતું. તે પછી જરૂર જણાતાં વધુ 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:34 am

મંડે મેગા સ્ટોરી:એપીકે ફાઇલથી ડેટા ચોરીનું ષડ્યંત્ર,સપ્તાહમાં 40થી વધુ યુવક-યુવતીઓને નિશાન બનાવ્યાં

સાયબર માફિયાઓએ હવે ડેટા ચોરી કરવાનું ષડ્યંત્ર શરૂ કર્યું છે. લોકોને એપીકે ફાઇલ મોકલી કે ડાઉનલોડ કરાવી ફોનના ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે. ફોનના ડેટા ચોરી કરીને સાયબર ગુનાઓને અંજામ આપવામાં આવે છે. એક અઠવાડિયામાં જ વિવિધ એપીકે ફાઇલ મોકલીને ડેટા ચોરી કરાતા હોવાના 40થી વધુ કેસ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સુધી પહોંચ્યા છે. નવા વર્ષની શુભેચ્છા, આમંત્રણ, વિવિધ એપની મોડ એપીકે ફાઇલ બનાવી લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. મોબાઇલમાં ફાઇલ ડાઉનલોડ થતાં જ વોટ્સએપ સહિત ફોનના એક્સેસ ભેજાબાજો મેળવી લે છે અને ડેટા ચોરી કરી લે છે. આ ડેટામાં ફોનની ગેલેરી, કોન્ટેક્ટ્સ, નોટ્સ (કેટલાક લોકો સોશિયલ મીડિયાના પાસવર્ડ તેમાં લખતા હોય છે), ચેટ્સ વગેરે ચોરી કરી લે છે તેમ પોલીસે જણાવ્યું હતું. એપીકે ફાઇલ ખાસ કરીને વોટ્સએપના માધ્યમથી મોકલાય છે. જ્યારે તેને ઈન્ટરનેટ મારફતે કોઈ સાઇટ પરથી ડાઉનલોડ કરાવાય છે કે કોઈ ડાઉનલોડ કરે છે તો ડેટા ચોરી થવાની શક્યતા રહે છે. પોલીસ સુધી ભોગ બનનાર પહોંચતાં તેમના ફોનની અંદરના બગને ડિલીટ કરાવાય છે અને એપ અન-ઈન્સ્ટોલ કરાવાય છે. કેટલાક બનાવમાં લોકો એપીકે ફાઇલનો ભોગ બની રૂપિયા ગુમાવતા હોવાના કિસ્સા બન્યા હતા. કિસ્સો-1 વધુ જાહેરાત આવતી હોવાથી મ્યૂઝિક એપની એપીકે ડાઉનલોડ કરતાં ડેટાની ચોરી થઈવાઘોડિયા રોડના વિદ્યાર્થીએ જાણીતી મ્યૂઝિક એપ ડાઉનલોડ કરી હતી, તેમાં ઘણી એડ આવતી હતી. જેથી તેણે મોડ એપીકે કોઈ સાઇટ પરથી ડાઉનલોડ કરી હતી. થોડા સમયમાં વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડ ડેટા ઝડપથી ઉપયોગ થવા લાગ્યા હતા. તેના ફોનની નોટ્સ, કોન્ટેક્ટ્સની માહિતીની પરમિશન એપે માગી હતી. સાથે અન્ય પરમિશન જેનું મ્યૂઝિક એપને કામ ન હોય તે માગી ડેટા ચોરી કર્યા હતા. કિસ્સો-2 મુવીની એપીકે ફાઇલે વિદ્યાર્થીની ગેલેરીના ડેટા ચોર્યા, ઇન્ટરનેટ પણ વાપરી નાખ્યુંવાસણા-ભાયલી રોડના વિદ્યાર્થીએ મૂવી જોવા પિકાશો નામની એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ગેલેરી સાથે કોન્ટેક્ટ્સના એક્સેસની પરમિશન આપી હતી. તે પછી ઉપયોગ કર્યા વગર દિવસનું ઈન્ટરનેટ પૂર્ણ થયું હતું. તપાસ કરતાં એપ મારફતે ગેલેરી સહિતના ડેટા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. એપ પ્લે સ્ટોર-એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો, ઠગાઈ થાય તો 1930 પર કોલ કરો

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:33 am

મંડે પોઝિટીવ:રાજકોટના અન્નદાતાઓ : 15 વર્ષથી રોજ રાતના જીવ માત્રના ભૂખ્યા પેટને અન્નનો પ્રસાદ ધરી સંતોષનો ઓડકાર ખાય છે

શહેરમાં છેલ્લા 15 વર્ષથી અવિરત અન્નદાતાઓ દ્વારા રાતના ભૂખ્યા પ્રાણીઓ તથા ગરીબ લોકોને અન્ન વિતરણ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ, હોટેલોના રાંધેલા અનાજનો દુરુપયોગ ન થાય તે હેતુથી આ સેવાભાવીઓ દ્વારા રોજ શહેરની અલગ અલગ વિસ્તારની હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અનાજ એકઠું કરીને ભૂખ્યા ગરીબ લોકો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આ સેવાભાવીઓ રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી લોકોની અને મૂંગા પશુઓની અવિરત સેવા કરે છે. આ સેવાનું કાર્ય તેજસભાઈ જોશી, દીપકભાઈ રાઠોડ, ડાયાભાઈ ટાંક, પ્રશાંતભાઈ જોધપુરા, રાજેશભાઈ હિંગુ, મેરામભાઇ આહીર, કરણભાઈ ઝાપડા અને ભરતભાઈ ચાવડા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે. આ લોકો પોતપોતાના જીવનમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. આમ છતાંય રોજ રાતે 9 વાગ્યાથી ઘરેથી વાહન લઈને જુદા-જુદા સ્થળે પહોંચી શ્વાનને દૂધ, ગાયને રોટલા, કીડીઓનું કીડિયારું અને અને ખિસકોલીઓને અન્નનું વિતરણ કરે છે. આ ઉપરાંત શહેરના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટના રાંધેલા અનાજને ફેંકી ન દેવામાં આવે તે અનાજથી ભૂખ્યા ગરીબ લોકોનું પેટ ભરાઈ તે માટે રોજ 200થી પણ વધારે લોકોને જમાડવામાં આવે છે. આ આઠેય ભાઈઓનું એક જ સૂત્ર છે કે, કીડીઓને કણ અને હાથીને મણ મળી જ રહે છે. મનુષ્ય તો માત્ર માધ્યમ છે. જેથી દરેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ માનવતા ન ચૂકવી જોઈએ. મૂંગા પશુઓની સેવા એ જ મનુષ્યનું કર્તવ્ય છે. આ મિત્રો રૈયાધાર અને યુનિવર્સિટી કેમ્પસ વિસ્તાર સુધી પહોંચી આ સેવાનું કાર્ય કરે છે. અંદાજે અઢી હજાર ઉંદરડા અને ખિસકોલીઓ અને 400થી પણ વધારે શ્વાન અને ગાયો, ભૂંડ તેમજ 200થી પણ વધારે ભૂખ્યા માણસોને દરરોજ ભોજન પૂરું પાડી તેમના પેટ ભરવાનું કાર્ય કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:33 am

ભાસ્કર એનાલિસીસ:પશ્ચિમ કચ્છમાં 2025માં ઠગાઇના 99 ગુના, 2024થી ડબલથી પણ વધુ

સરહદી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ ગત વર્ષ 2025 માં ગંભીર ગુનાઓમાં વધારો થયો છે. રાજ્યના સૌથી મોટા જિલ્લામાં એક જ વર્ષમાં ઠગાઈના ડબલથી પણ વધારે બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ, ધાડ, લુંટ, દુષ્કર્મ, પોક્સો અને જીવલેણ અકસ્માતના બનાવોમાં વધારો થતા ગંભીર પ્રકારના બનાવોમાં વધારો નોંધાયો છે. જોકે મોટા ભાગના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઔદ્યોગિક એકમો, પવનચક્કી, રણ, દરિયો અને મોટા ધાર્મિક સ્થળો ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે પોલીસને સતત એલર્ટ રહેવું પડે છે. જોકે 26 પોલીસ મથક ધરાવતા આ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં ગુનાખોરી વધી છે. જેમાં ખાસ કરીને ગત વર્ષે ઠગાઈના બનાવો ડબલથી પણ વધારે નોધાયા છે. વર્ષ 2024 માં માત્ર 48 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં વધીને 99 સુધી પહોચ્યા છે. તેમજ વિશ્વાસઘાતના 15 ગુના નોંધાતા તેમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત 2024 માં ધાડનો એકપણ બનાવ ન હતો જેની સામે ગત વર્ષે 2 બનાવ બન્યા છે. તેમજ વર્ષ 2024 માં દુષ્કર્મના 34 બનાવ બન્યા હતા જેની સામે ગત વર્ષે 39 ગુના નોધાયા છે, જ્યારે પોક્સોના 25ની સામે 43 ગુના નોધાતા તેમાં પણ વધારો થયો છે. સતત ભારે વાહનોની અવર જવર વાળા જિલ્લામાં અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં 297 બનાવની સામે 313 અને અકસ્માતમાં જીવ ગુમાવવાના 138 ની સામે 162 બનાવ બનતા ફેટલના 24 બનાવનો વધારો થયો છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી, વાહન ચોરી, મંદિર ચોરી અને રાયોટીંગના બનાવોમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં 436 જેટલા ગુના વધુ નોંધાયા છે જે ચિંતાજનક છે. જોકે વધી રહેલી ગુનાખોરી સામે પોલીસે મોટા ભાગના ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. એકજ વર્ષમાં હત્યાના 7 બનાવ વધ્યા,1 ગુનો હજુ વણઉકેલાયેલોહાલના સમયમાં માણસની સહનશીલતા ઘટી છે જેના કારણે નાની નાની બાબતોમાં આવેશમાં આવી જઈ લોહિયાળ બનાવને અંજામ આપી દે છે. ત્યારે વર્ષ 2024 માં પશ્ચિમ કચ્છમાં હત્યાના 21 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં 28 બનાવ બનતા 7 હત્યાનો વધારો થયો છે. જ્યારે હત્યાની કોશિશના 10 બનાવની સામે 2025 માં 23 બનાવ બનતા તેમાં પણ વધારો થયો છે. પોલીસે હત્યાના 27 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે, જોકે ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલા 45 વર્ષીય યુવાનની હત્યાના બનાવમાં હજુ સુધી પોલીસ આરોપી કે કારણ શોધી શકી નથી. વર્ષ 2025 દરમિયાન એટ્રોસિટીના 36 ગુના, નોંધપાત્ર ઘટાડો નોંધાયોપશ્ચિમ કચ્છમાં એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાતા ગુનામાં ઘટાડો થયો છે. વર્ષ 2022 માં એસસીએસટી સેલમાં ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન ફરજ પર આવ્યા હતા. વર્ષ 2022 માં ગુનાની સંખ્યા 70 હતી જે વર્ષ 2023 માં 64 થયા બાદ 2024 માં 50 અને ગત વર્ષે માત્ર 36 ગુના નોધાતા તેમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. માત્ર નવા ગુના અટકાવવા જ નહીં પરંતુ વર્ષોથી કોર્ટમાં પેન્ડીંગ પડી રહેલા કેસોના નિકાલમાં પણ સારી કામગીરી કરી છે. પરિણામે ડીવાયએસપી ફરજ પર આવ્યા ત્યારે 2022 માં કુલ 53 કેસ પેન્ડીંગ હતા જે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માત્ર 14 કેસ પેન્ડીંગ રહ્યા છે. આ ઉપરાંત ગુનાની નિષ્પક્ષ તપાસ અને ઊંડાણપૂર્વકની કામગીરીથી ગુનેગારોને દાખલો બેસાડતી સજા થયેલી છે. જેમાં માનકુવા પોલીસ મથકે નોંધાયેલા દિલીપ આહીરને મરવા મજબુર કર્યાના ગુનામાં સત્ય બહાર લાવવામાં આવ્યું. આ ઉપરાંત સાયબર પોલીસ મથકે નોધાયેલા ગુનામાં આરોપીએ પોતાનો ધર્મ છુપાવી 28 યુવતીઓને ફસાવી હતી જેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં સારી કામગીરીને કારણે ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચનને 16 જેટલા પ્રસંશાપત્ર પણ મળ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:26 am

બુટલેગર ઝડપાયો:ઘાટલોડિયામાં 336 બોટલ સાથે બુટલેગર ઝડપાઈ ગયો

ભૂયંગદેવ ચારરસ્તા પાસે શ્રીનગર ફ્લેટમાં બુટલેગર દિલીપ અસરાનીને દારૂની ડિલિવરી કરવા આવેલા વાડજના બુટલેગરને ક્રાઈમ બ્રાંચે 336 બોટલ તથા ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી દારૂ ભરેલી ગાડી પકડી પાડવા સાથે વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા બુટલેગર સન્ની ઉર્ફે માંજરો તોલાણીને ઝડપી લઇ તપાસ કરતા તેની ગાડીમાં 3 થેલામાંથી દારૂની 336 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી સાથે સન્નીની ધરપકડ કરી રૂ.3.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનથી બસમાં દારૂ અમદાવાદ આવ્યો હતોસન્નીએ જણાવ્યું કે રાજસ્થાનના સાંચોરના બુટલેગર માંગીલાલ પાસેથી તે દારૂ મગાવતો હતો. 2 દિવસ પહેલાં જથ્થો મગાવ્યો હતો, જેથી માગીલાલે ખાનગી બસમાં દારૂનો જથ્થા સાથે પેસેન્જરરૂપે બેઠો હતો. વહેલી સવારે બસ અડાલજ આવી ત્યારે સન્ની ગાડી લઈ અડાલજ પહોંચ્યો હતો, જ્યાં દારૂ સન્નીને આપતાં તે ગાડીમાં દારૂ લઈ જતો રહ્યો હતો. જ્યારે માંગીલાલ વળતી બસમાં રાજસ્થાન જતો રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે માંગીલાલને પકડવાની તજવીજ આદરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:24 am

ભાસ્કર વિશેષ:ડાકોરના યુવાને સહાય માટે 1 કરોડથી વધુ ભંડોળ ભેગું કર્યું

આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે, પરંતુ જો તેનો સદુપયોગ કરવામાં આવે તો તે કોઈનું જીવન બદલી શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે ડાકોરના રહેવાસી હેમરાજ રબારીએ. સોશિયલ મીડિયા પર ‘માલધારી પેજ’ના માધ્યમથી તેમણે અત્યાર સુધીમાં કુલ રૂ. 1,08,43,560 જેટલી રકમ એકઠી કરી સીધી પીડિતો સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્ય ફેબ્રુઆરી, 2020થી, ખાસ કરીને રબારી અને ભરવાડ સમાજના જ્ઞાતિજનો માટે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની સૌથી મોટી મદદ પોરબંદરના રાજાભાઈના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માત્ર 3 જ દિવસમાં રૂ. 21 લાખ એકત્ર કરાયા હતા. દરેક જિલ્લામાં ટીમ દ્વારા ચકાસણી અને સોશિયલ મીડિયાનો સદુપયોગ ઓનલાઈન પેમેન્ટની મર્યાદા નડતાં ‘ફાઉન્ડેશન’ બનાવી નાખ્યુંશરૂઆતમાં દાનની રકમ સીધી પીડિતના ખાતામાં જતી હતી પણ ગૂગલ પે કે બેંક એકાઉન્ટમાં લિમિટ આવતી હોવાથી ‘મિશન’ અટકે નહીં તે માટે ‘અમીધારા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. હેમરાજ જણાવે છે કે, “મિશન શરૂ કરતી વખતે અને પૂરું કરતી વખતે બેંક સ્ટેટમેન્ટ જાહેર કરીએ છીએ. દાતા રૂ. 51 આપે કે 1 લાખ, અમે દરેકના ફોટો સાથે પોસ્ટ મૂકીએ છીએ.” પશુ બચાવતાં જીવ ગુમાવનારના સમાચારથી સેવાનો વિચાર આવ્યોઆ સેવા કાર્યની શરૂઆત ઉનાની એક હૃદયદ્રાવક ઘટનાથી થઈ હતી. ઉનામાં તળાવમાં ડૂબી રહેલા પશુઓને બચાવવા જતા પિતા અને તેમને બચાવવા જતા બે જુવાન દીકરા એમ કુલ ત્રણ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટનાએ હેમરાજને હચમચાવી દીધા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા પીડિત પરિવારોને આર્થિક ટેકો આપવાનો સંકલ્પ કર્યો. અત્યાર સુધી 20 લોકોને ગંભીર બીમારીમાં મદદ કરવામાં આવીઅત્યાર સુધી 20 પરિવારોને ગંભીર બીમારીમાં, 8 વિધવાને આર્થિક રીતે અને 3 વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરીઈ છે. કોઈ આકસ્મિક મૃત્યુનો કિસ્સો બને ત્યારે પરિવાર નિરાધાર ન બને તે માટે તાત્કાલિક ફંડ એકઠું કરાય છે. માતાજીના પુંજ ઉત્સવમાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલા કરશનભાઈના પરિવારને રૂ. 4.74 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:21 am

મોટેરા ખાતે મહિના પહેલાં ડેમોલિશન કર્યું, પણ કાટમાળ ન હટાવ્યો, રેલવે સ્ટેશન પાસે આડેધડ પાર્કિંગ મોટી સમસ્યા

ભાસ્કરની ટીમ દ્વારા સાબરમતી વોર્ડના વિકાસ કાર્યો અને જનસમસ્યાઓ અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરાઈ હતી. આ દરમિયાન વિસ્તારની અનેક હાલાકીઓ સામે આવી છે. અહીં સ્મશાનનો માર્ગ બિસમાર હાલતમાં છે અને આંતરિક રસ્તા પણ અનેક જગ્યાએ ખરાબ છે. રસ્તા પર દબાણ અને રખડતાં ઢોરનો ત્રાસ છે. વધુમાં ડેમોલિશન બાદ હજુ સુધી કાટમાળ હટાવવામાં આવ્યો નથી, જે ગંદકી ફેલાવે છે. શિક્ષણ અને સુવિધાના નામે અહીં લાઈબ્રેરી અને જૂની પ્રયોગશાળા બંધ હાલતમાં છે તેમ જ મ્યુનિસિપલની એકમાત્ર હિન્દી શાળા પણ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, સાબરમતી રેલવે સ્ટેશન પાસે રિક્ષાના આડેધડ પાર્કિંગથી થતાં ટ્રાફિકને કારણે મુસાફરો અને સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. વિસ્તારની અન્ય સમસ્યાઓ: સ્થાનિકોના સુર કોર્પોરેટરનો પક્ષ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:16 am

લેખક લલિત ખંભાયતા સાથે સંવાદ:કચ્છમાં હવે શિયાળામાં પણ વધુ ઠંડી નથી પડતી તે ગ્લોબલ વોર્મિંગની લોકલ અસર

ભુજ શહેરની વિજયરાજજી પુસ્તકાલયમાં સફર, સંવાદ, સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખક–પત્રકાર લલિત ખંભાયતા સાથે યોજાયેલા આ સંવાદનું સંચાલન રોનક ગજ્જરે કર્યું હતું. જેમાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધ સાથે સંશોધન, સરહદી સુરક્ષા અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દિવ્ય ભાસ્કર ભુજના તંત્રી નવીનભાઈ જોશી, આર.જે. મકવાણા, મધુકાંતભાઈ આચાર્ય, ચેતનગિરિ ગુંસાઈ, લલિત ખંભાયતાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં સંચાલકે લેખકના જીવનપ્રવાસ અને તેમની પ્રકાશિત નવ પુસ્તકોનો પરિચય આપ્યો હતો. પોતાના બાળપણના અનુભવો કહેતા લલિત ખંભાયતાએ જણાવ્યું કે ગામમાં બસ આવતી ત્યારે આવતાં અખબારો જોવાની આદતમાંથી વાંચનનો રસ વિકસ્યો, જે આગળ જતાં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને વ્યવસાયિક પત્રકારત્વ સુધી પહોંચ્યો. લેખકે જણાવ્યું હતું કે પત્રકારત્વ અને સાહિત્ય એકબીજાના પૂરક છે. પત્રકારત્વ શબ્દોની ચોકસાઈ શીખવે છે. જ્યારે સાહિત્ય જીવનને ઊંડાણથી સમજવાની દૃષ્ટિ આપે છે. સંવાદ દરમિયાન ચારણકન્યાના વિષયક તેમનું સંશોધન મુખ્ય કેન્દ્રમાં રહ્યું. મેઘાણી અને કવિ કાગ સાથેના ગીર પ્રવાસોની વાત કરતા તેમણે ચારણ સમાજની પરંપરા અને ચારણકન્યાના વંશજો અંગે કરેલા અભ્યાસ પર પ્રકાશ પાડ્યો હતો. કચ્છ સરહદી જિલ્લો હોવાથી અહીંના પત્રકારો માટે ડિફેન્સ કોરસ્પોન્ડન્સ કોર્સનું મહત્વ દર્શાવતાની સાથે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા રિપોર્ટિંગની પ્રશંસા કરી હતી. સાથે સાથે કચ્છમાં બદલાતા હવામાન,શિયાળામાં પણ ઠંડી ન પડવી, પવનના સ્વરૂપ અને સ્થાનિક પ્રદૂષણને વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડતું વિશ્લેષણ રજૂ કર્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે લેખકના પુસ્તકોનું પ્રદર્શન અને સહી સત્ર યોજાયું હતું. કાર્યક્રમનો અંત સંચાલકે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં અન્ય કાર્યક્રમ આયોજિત ન થાય ત્યાં સુધી સ્થગિત કર્યો હતો. લેખકનું ભુજમાં સ્મૃતિચિન્હ આપી મહેમાનોએ સન્માન કર્યુંકાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા લલિત ખંભાયતાને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આવા સાહિત્યિક સંવાદો ભવિષ્યમાં કચ્છમાં વધુ થાય તેવી આશા વ્યક્ત કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:12 am

જ્ઞાન યજ્ઞની ઉજવણી:ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાગવત કથા જ્ઞાન યજ્ઞની ઉજવણી

ભુજ લોહાણા મહાજન સંચાલિત મહિલા મંડળ દ્વારા 25મી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વ્યાસપીઠ પદેથી શાસ્ત્રી જનક મહારાજે કૃષ્ણ જન્મનું વર્ણન કર્યું હતું. બાળકો રાધા અને કૃષ્ણના વેશમાં સજ્જ રહ્યા હતા. પાંચમા દિવસે ગોવર્ધન પૂજામાં સર્વે યજમાનો, મહિલા મંડળ, ભક્તો પોતાના ઘરેથી કનૈયા માટે પ્રસાદ બનાવી લાવ્યા હતા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. બાદમાં મહા આરતી યોજાઈ હતી. છઠ્ઠા દિવસે મહાઆરતી અને નારાયણ યજ્ઞ યોજાયો હતો. અંતિમ દિવસે ગઢશીશાના ચંદુમાં અને આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા. મહાજન પ્રમુખ મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારીયા, હિતેશ ઠક્કર, અલ્પેશ ચંદે, પ્રફુલાબેન કોટક, યુવા મંડળ પ્રમુખ નીલ સચદે, મહિલા આશ્રમ પ્રમુખ ચેતન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય યજમાન તરીકે સૂર્ય સ્વ.મંગળદાસ કલ્યાણી કોઠારી તથા કુલ 33 પોથી સાથે કથા યોજાઇ હતી. કથા પ્રેરક સ્વ.સરસ્વતીબેન ચંદન રહ્યા હતા. પ્રમુખ મમતાબેન ઠક્કર, રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, પંકજબેન રામાણી, શારદાબેન ઠક્કર, દક્ષાબેન રૂપારેલ, દીપાબેન પુજારા, શીલાબેન માણેક, જ્યોતિબેન પવાણી, લતાબેન કોઠારી, ભારતીબેન રાજદેવ કથા સમિતિના સર્વે બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલક તરીકે તૃપ્તિબેન ઠક્કરે સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:11 am

ભાસ્કર એક્સક્લુસિવ:પ્રજ્ઞાચક્ષુઓ માટેની પાયથન કોડિંગની પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનો વિદ્યાર્થી પ્રથમ

પ્રજ્ઞાચક્ષુઓ કેટલા ખંતથી લક્ષ્ય પાર પાડતા હોય છે તેનું દૃષ્ટાંત દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં જોવા મળ્યું હતું. દૃષ્ટિહીનો માટે દિલ્હીમાં કામ કરતી સક્ષમ સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓની પ્રતિભા વિશ્વ સમક્ષ લાવવા માટે પ્રથમ વાર રાષ્ટ્રીય કક્ષાની કોડિંગ સ્પર્ધા ‘સક્ષમ ફર્સ્ટ કોડેન્સ’ યોજાઈ હતી. તેમાં રાજસ્થાન, પુણે, જમશેદપુર, ઉત્તરાખંડ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે ગુજરાતમાંથી 2 જુનિયર અને 3 સિનિયર એમ કુલ 5 વિદ્યાર્થીની ટીમે ભાગ લીધો હતો. આમ સ્પર્ધામાં કુલ 50 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સિનિયર એડવાન્સ્ડ પાયથોન કોડિંગ સ્પર્ધામાં જૂનાગઢમાં BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વ્રજ ટાંકે પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા તિશન મહેશ્વરીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતાઓને ટ્રોફી, ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતા, જ્યારે તમામ સહભાગીઓને ભાગીદારી બદલ પ્રમાણપત્ર અને પ્રોત્સાહન પુરસ્કાર અપાયા હતા. આ સ્પર્ધામાં પ્રોજેક્ટ ડિસ્પ્લે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, શાળાના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોડિંગ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે સિનિયર કોડિંગ જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ કરાયો હતો. કોડિંગમાં એક્યુરસી મહત્ત્વની છે અને એનાથી જ હું જીત્યોસ્ક્રીન રીડરથી કમ્પ્યુટરના કી-બોર્ડ પર આંગળીઓ ફેરવતો 19 વર્ષનો વ્રજ મુકેશકુમાર ટાંક બીસીએના ચોથા સેમેસ્ટરમાં છે. ત્રણેક મહિનાનો હતો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવી ચૂકેલો વ્રજ 12 ધોરણ સુધી અંધજન મંડળમાં ભણ્યો અને બહેનને કમ્પ્યુટર પર કામ કરતાં ‘સાંભળી’ને કમ્પ્યુટરમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. એલડીમાં એમસીએ કર્યા પછી સોફ્ટવેર ડેવલપર બનવાનું લક્ષ્ય લઈને ચાલતા વ્રજે આ સ્પર્ધામાં સિનિયર કક્ષામાં ભાગ લીધો હતો. તેણે કહ્યું કે સ્પર્ધામાં એડ્વાન્સ પાયથનની લાયબ્રેરીના 2 પ્રશ્ન પુછ્યા હતા, જે 15 અને 10 મિનિટમાં પૂરા કરવાના હતા. કોડિંગમાં એક્યુરસીનું બહુ જ મહત્ત્વ હોય છે અને મેં એક્યુરેટ અને નિર્ધારિત સમયમાં પ્રશ્નોના ઉકેલ શોધ્યા એટલે હું જીતી ગયો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:10 am

ભાસ્કર વિશેષ:ગુજરાત બાર કાઉન્સિલમાં કચ્છના પ્રતિનિધિત્વ માટે મંથન

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભુજ ખાતે કચ્છ જિલ્લાના વકીલોની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લાના વકીલ મંડળોના પ્રમુખ-મંત્રીઓ અને સીનિયર પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરી દ્વારા આયોજિત આ બેઠકનો મુખ્ય હેતુ આગામી 9 માર્ચના યોજાનારી ચૂંટણીમાં કચ્છનું મજબૂત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં એ બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી કે વર્ષ 2017 થી બાર કાઉન્સિલમાં કચ્છમાંથી કોઈ પ્રતિનિધિત્વ રહ્યું નથી, જે ઉણપ દૂર કરવા માટે આ વખતે તમામ વકીલોએ જ્ઞાતિ, સંગઠન કે રાજકીય ભેદભાવ અને સેહશરમ રાખ્યા વગર એકસંપ થઈને મતદાન કરવું જોઈએ. આ વ્યૂહરચનાના ભાગરૂપે પશ્ચિમ કચ્છ માટે ભુજ બારના પ્રમુખ સચિન ગોર અને પૂર્વ કચ્છ માટે ગાંધીધામ બારના પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ બે દિવસમાં સંભવિત ઉમેદવારોના નામ મેળવે, જેના આધારે એક સમિતિ બનાવી સક્ષમ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત સીનિયર એડવોકેટ્સ દ્વારા એવો સુર વ્યક્ત કરાયો હતો કે જો કચ્છમાંથી ઓછામાં ઓછા 2500 જેટલા ‘ફર્સ્ટ પ્રેફરન્સ’ મતો એક જ ઉમેદવારને પડે, તો કચ્છનો વિજય નિશ્ચિત બની શકે છે. આ ચિંતન શિબિરને કચ્છના સાંસદ અને એડવોકેટ વિનોદભાઈ ચાવડાએ પણ પોતાનો ટેકો જાહેર કરતો સંદેશ પાઠવ્યો હતો. આ સાથે જ બેઠકમાં વકીલોના વેરિફિકેશન પ્રક્રિયા અંગે પણ ગંભીરતા દાખવવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યાદી મુજબ કચ્છના અંદાજે 1060 જેટલા વકીલોના પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાવાયું હતું. આ તમામ વકીલોને આગામી 9 જાન્યુઆરી પહેલા પોતાના ફોર્મ અમદાવાદ ઓફિસ ખાતે પહોંચતા કરવા તાકીદ કરવામાં આવી છે, જેથી તેઓ મતાધિકારથી વંચિત ન રહી જાય. અંતમાં વિમલભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર વકીલ આલમે એકતાના શપથ સાથે કચ્છના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:10 am

આજે જીયુમાં 74મો કોન્વોકેશન કાર્યક્રમ:ત્રણ વર્ષમાં મેડલ મેળવવામાં વિદ્યાર્થીનીઓનું પ્રભુત્વ વધ્યું

રાજ્યની સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનમાં મેડલ મેળવનાર છોકરા-છોકરીઓમાં ‘વામા’નું સૌથી વધારે પ્રમાણ જોવા મળ્યું છે. શૈક્ષણિક વર્ષ 2024, 2025માં યોજાયેલા પદવીદાન સમારોહમાં આઠથી વધુ વિદ્યાશાખામાં કુલ 881 મેડલ 504 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે. જેમાં 187 છોકરાનો જ્યારે 317 છોકરીનો સમાવેશ થાય છે. આમ મેડલ મેળવનારાઓમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ ઘણી આગળ છે. જેમાં આ વર્ષે કુલ 342ને મેડલ અપાશે જેમાં 126 છોકરીઓને મેડલ આપવામાં આવશે જ્યારે 66 વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે. અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા- નિષ્ઠા- સમર્પણ- અને પ્રચંડ પુરુષાર્થના સહારે છોકરીઓએ એ બાબતને સાચી સાબિત કરી છે કે છોકરીઓ દરેક ફેકલ્ટીમાં મેડલ અને સફળતા મેળવવામાં અગ્રેસર છે. પ્રવેશમાં છોકરીઓનું પ્રમાણ વધ્યું, પરિણામે મેડલમાં પણ વધારો‘ છેલ્લા કેટલાક વર્ષોમાં વાલીઓમાં છોકરીઓને ભણાવવા માટેના ટ્રેન્ડમાં વધારો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ છોકરીઓને મેડિકલ,એજ્યુકેશન ઉપરાંત નર્સિગ,ફાર્મસી, ટીચિંગ, યોગા, ફાઈન આર્ટસના ક્ષેત્રે છોકરીઓને ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડતરની તકો પણ ઉપલબ્ધ છે. મારા મતે છોકરાઓ અને છોકરીઓ બંન્ને કેરિયર ઓરિએન્ટેડ છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવનાર છોકરીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હોવાથી સ્વાભાવિક રીતે મેડલ મેળવનારી છોકરીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. વિશેષ કરીને મેડિકલ, આટર્સ, એજ્યુકેશન ફેકલ્ટીમાં મેડલ મેળવનાર વિદ્યાર્થી તરીકે નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે.’ - ડો નિરજા ગુપ્તા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી MDMSમાં સૌથી વધુ 52 મેડલ અપાશે : 3 વર્ષમાં મેડલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા :

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:07 am

STI પરીક્ષા:STI પરીક્ષામાં નોંધાયેલ કુલ 88276 ઉમેદવારમાંથી 83 ટકા હાજરી નોંધાઈ

જીપીએસસી દ્વારા રાજયના જીએસટી વિભાગમાં ટેકસ ઈન્સરપેક્ટર્સની 323 સુપર ક્લાસ-3 પોસ્ટ માટેની પ્રીલિમનરી એક્ઝામ રવિવારે અમદાવાદ સહિતના રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાઈ હતી.જેમાં રાજ્યભરમાં 83 ટકા હાજરી નોંધાઈ હતી. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર,વિજ્ઞાન, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સબંધો અંગેના પ્રશ્નો પૂછાયાં હતા. પરીક્ષા આપનારા ઉમેદવારોનું કહેવું છે કે યુપીએસસીની જેમ આ પરીક્ષાનું પરિણામ પણ 22થી 24 માર્ચ 2026 દરમ્યાન લેવાનારી મુખ્ય પરીક્ષા પહેલા જ જાહેર કરવામાં આવે જેથી તૈયારી માટે પુરતો સમય મળી શકે. પરીક્ષામાં પુછાયેલા કેટલાક મહત્ત્વના પ્રશ્નો આ વર્ષે પેપર લાંબું અને મધ્યમ કક્ષાનું રહ્યું હતું‘જીપીએસસીએ લીધેલ સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટર નુ પેપર પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ જ લાંબુ અને મધ્યમ કક્ષાનુ ગણી શકાય.જે ઉમેદવારોને માટે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવુ એક પડકાર જનક રહ્યું હતુ. કુલ 200 માર્કસના પ્રશ્નપત્રમાં કુલ 200 પ્રશ્નો પૂછાયા હતા. જેમાં બંધારણ ભૂગોળ અને અર્થશાસ્ત્રનું બાહુલ્ય ચોક્કસ હતું. આ પ્રશ્નો સમજણ માંગી લે તેવું, સમજણ માંગે તેવા હતા. આ સિવાય જ્યોતિગ્રામ અને પીએમ પોષણ યોજના જેવા સરકારની મહત્વપૂર્ણ પહેલ પર આધારિત પ્રશ્નો પૂછાયા હતા. પર્યાવરણ અને તેના આતંરાષ્ટ્રીય કરારો, પરમાણુ ઊર્જા, અને મિસાઇલ ટેકનોલોજીના પ્રશ્નો સમજણ માગે તેવા હતા.’ - ડો હર્ષ પટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત, સ્પીપા ફેકલ્ટી, એકસ્પર્ટ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:05 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધિત હોવા છતાં પ્રવાસીઓ દ્વારા રોકટોક વિના ઉડાડવામાં આવે છે !

કચ્છમાં આવેલા વિવિધ પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં હાલ ‘રોડ ટુ હેવન’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્ય અને અનોખા નજારાને માણવા માટે સ્થાનિકો ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. પચ્છમના કાઢવાંઢથી ખડીરના ધોળાવીરા સુધી રણ ચીરીને નીકળતો રોડ ટુ હેવન જે સુરખાબ અભયારણ્યમાંથી પસાર થાય છે, આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં કેટલાક પ્રવાસીઓ દ્વારા બેરોકટોક ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રણોત્સવ માણવા આવતા લોકો અચૂક રોડ ટુ હેવનનો અદ્ભુત અને કુદરતી નજારો માણવા આવે છે, ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે તો કેટલાક યુટ્યુબ ચેનલ માટે વિડીયો શૂટ કરવા માટે નિયમોને અવગણીને પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડે છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી ધરાવતા આ વિસ્તારમાં ડ્રોન થકી ગુજરાતના રાજ્યપક્ષી સુરખાબ, કુંજ સહિતના અન્ય વિવિધ વિદેશી પક્ષીઓને ખલેલ પહોંચે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી માત્ર સુરક્ષાને જોખમ ઊભું થાય છે એટલું જ નહીં, પરંતુ કાયદા અને તંત્રની સૂચનાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા અગાઉથી જ આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. વનવિભાગનું બોર્ડ હોવા છતાં પણ શૂટ થાય છેઅગાઉ રોડ ટુ હેવન પર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પ્રિવેડ શૂટ અને રીલ્સ મોટી સંખ્યામાં લોકો બનાવવામાં આવતી હતી. ત્યારે જંગલ ખાતાએ અહીં શિયાળામાં આવતા ફ્લેમિંગો, પેલિકન જેવા વિદેશી પક્ષીઓ પરેશાન ન થાય તે માટે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ક્યા વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈસરકાર દ્વારા ડ્રોન ઉડાવવા રેડ ઝોન, ઇનર યલો ઝોન, આઉટર યલો ઝોન ગ્રીન ઝોન વગેરેનો સમાવેશ કરાયો છે. રેડ ઝોન એટલે કે એવો વિસ્તાર જ્યાં ડ્રોન ઉડાડવાની સખત મનાઈ હોય છે. જેમ કે સંસદ ભવન, આંતરરાષ્ટ્રીય સરહદ, મિલિટરી ઇન્સ્ટોલેશન, સચિવાલય, વિધાનસભા, રાષ્ટ્રીય ઉદ્યાનો, વાઇલ્ડલાઇફ અભયારણ્ય, દરિયાકાંઠે, એરપોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા હાઈ સિક્યુરિટી એરિયા વગેરે. કચ્છનો ઘણો વિસ્તાર રેડ ઝોનમાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:04 am

મેટ્રોની ફ્રિકવન્સી-કોચ વધારવાની જરૂર ઊભી થઈ:મેટ્રોના 70% મુસાફરો માત્ર વસ્ત્રાલ- થલતેજ વચ્ચે નોંધાયા, ડિસેમ્બરમાં સૌથી વધુ 46 લાખ

મેટ્રોમાં મુસાફરી કરતાં પેસેન્જરોમાં 70 ટકાથી વધુ ફક્ત ઇસ્ટ-વેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલથી થલતેજ ગામ રૂટ પર મુસાફરી કરી રહ્યા છે. જ્યારે ડિસેમ્બર 2025માં અત્યાર સુધીની સૌથી વધુ 45.96 લાખ પેસેન્જરે મુસાફરી કરી હતી, જે દૈનિક સરેરાશ 1.48 લાખથી વધુ થાય છે. હાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પીકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રોનું સંચાલન થઈ રહ્યું છે, જ્યારે નોન પિકઅવર્સમાં દર 10 મિનિટે મેટ્રો દોડાવાય છે. નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર મેટ્રો દર 12 મિનિટે ચલાવવામાં આવી રહી છે. જોકે ટ્રેનના કોચ વધારાય તો મેટ્રોમાં લોકોએ ભીડનો સામનો કરવો ન પડે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2025માં નોંધાયેલા પેસેન્જર મેટ્રોની ક્ષમતા 800ની, બેસીને 136 જઈ શકે છેહાલ 3 કોચની મેટ્રો ટ્રેન ચાલે છે. તેની ક્ષમતા 800 મુસાફરોની છે. 136 મુસાફરો બેસી શકે છે, જ્યારે 628 લોકો ઊભા રહેવું પડે છે. મેટ્રોની ડિઝાઇન એ રીતે બનાવાય છે કે જેથી પિક અવર્સમાં વધુ લોકો ઊભા ઊભા સરળતાથી જઇ શકે. નવા 10 મેટ્રો રેક વધારાશેજીએમઆરસીએ નવા 10 મેટ્રો રેકની ખરીદી કરી છે. નવા રેક આગામી દિવસોમાં તબક્કાવાર જોડાશે, જેથી મેટ્રોની ફ્રિક્વન્સી વધરશે અને જરૂરિયાત મુજબ પીકઅવરમાં 7 મિનિટના બદલે 5 મિનિટે મેટ્રો દોડાવાની યોજના છે. ઇસ્ટ-વેસ્ટ રૂટ પર પીકઅવર્સમાં 7 મિનિટે 1 મેટ્રો મળે છે

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:03 am

44 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે:12 પાસ યુવાનો માટે નેવીમાં ભરતી, JEE મેઇનના સ્કોર પર પસંદગી

ધો. 12 પાસ યુવાનો માટે ઇન્ડિયન નેવીમાં લેફ્ટનન્ટ બની દેશસેવા કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ કરાવાઇ છે. ઇન્ડિયન નેવીએ 10+2 B.Tech કેડેટ એન્ટ્રી સ્કીમ જાન્યુઆરી 2027 બેચ હેઠળ એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ બ્રાન્ચમાં પરમેનન્ટ કમિશન માટે ભરતી જાહેર કરી છે. આ સ્કીમ હેઠળ પસંદ થયેલા કેડેટ્સને કેરળના એઝીમાલા સ્થિત ઇન્ડિયન નેવલ એકેડમી ખાતે 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ નિઃશુલ્ક કરાવાશે. કેડેટ્સને એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કરાવાશે. કોર્સ પૂર્ણ થયા બાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અપાશે.અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ, પુસ્તકો, કપડાં અને રહેવા-જમવાની વ્યવસ્થા નૌસેના દ્વારા કરાશે. મહિલા અનામત સહિત કુલ 44 બેઠકોમાં પ્રવેશ માટે ધોરણ-12 (PCM) માં સરેરાશ 70% અને અંગ્રેજીમાં 50% માર્ક્સ ફરજિયાત છે આ ઉપરાંત ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2007 થી 1 જાન્યુઆરી 2010 ની વચ્ચે હોય તેવા અવિવાહીત ઉમેદવાર જ www.joinindiannavy.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. JEE (Main) 2025 ના ઓલ ઇન્ડિયા કોમન રેન્ક લિસ્ટના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી ઓગસ્ટ-ઓક્ટોબર 2026 દરમિયાન બેંગલુરુ, ભોપાલ, કોલકાતા કે વિશાખાપટ્ટનમ ખાતે SSB ઇન્ટરવ્યુ માટે બોલાવાશે. મેડિકલ ટેસ્ટ અને SSB ના માર્ક્સના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:02 am

સિટી એન્કર:ચરિયાણ ઘટવાના કારણે ખારઇ ઊંટની વસ્તીમાં ઘટાડો !

કચ્છના ગૌરવ સમાન તરતા ઊંટ એટલે કે ખારાઈ ઊંટ અત્યારે જોખમમાં છે. ઊંટની આ અનોખી પ્રજાતિ મુખ્યત્વે ચેર (મેન્ગ્રોવ) પર નભે છે, પરંતુ ચરિયાણના વિસ્તારો ઘટવાને કારણે અને આર્થિક મુશ્કેલીઓને લીધે તેમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં જિલ્લામાં આ ઊંટની સંખ્યા અંદાજે 1 હજાર જેટલી છે. આ ગંભીર સ્થિતિને સુધારવા માટે કચ્છ ઊંટ ઉંછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા ભુજમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં પરામર્શ કરવા અર્થે ભારત સરકારના પશુપાલન મંત્રાલયના કમિશનર, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સના ડાયરેક્ટર, નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ્સના સિનિયર વૈજ્ઞાનિકો, કામધેનુ યુનિવર્સિટીના એક્સ્ટેન્શન વિભાગના ડાયરેક્ટર, રાજ્ય પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓ, કચ્છ કલેક્ટર, સરહદ ડેરી, બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ, વન વિભાગના અધિકારીઓ તેમજ અન્ય વિસ્તારમાં માલધારીઓ સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ પરામર્શનો મુખ્ય ઉદ્દેશ્ય ખારાઈ ઊંટ ઉછેરતા માલધારીઓના પ્રશ્નો અને પડકારોને પ્રત્યક્ષ સાંભળીને તેને ઊંડાણપૂર્વક સમજવાનો છે. આ બેઠક દ્વારા એક એવી સહાયક વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરાશે જેનાથી ખારાઈ ઊંટની વસ્તીમાં વૃદ્ધિ થઈ શકે. સાથે જ ખારાઈ ઊંટ અને તેમના માટે અત્યંત મહત્વના એવા ચેરના જંગલોના સંરક્ષણ માટે તમામ હિતધારકો સાથે મળીને એક વ્યાપક અને લાંબાગાળાની રણનીતિ તૈયાર કરશે, જેથી આ અમૂલ્ય વારસાને લુપ્ત થતો બચાવી શકાય. ખારાઇ ઊંટના પગ લાંબા અને મજબૂત, જેથી તરવામાં અને કાદવમાં ચાલવામાં સરળતા રહેખારાઇ ઊંટ કચ્છ પ્રદેશની એક અનોખી અને વિશ્વપ્રસિદ્ધ ઊંટની જાત છે. ખારાઇ શબ્દનો અર્થ ખારાશ અથવા દરિયાઈ વિસ્તાર સાથે જોડાયેલો થાય છે, વિશ્વમાં ઊંટની આ એકમાત્ર જાત છે જે દરિયામાં લાંબા અંતર સુધી તરવામાં નિપુણ છે. મુખ્યત્વે મૅન્ગ્રોવ વૃક્ષોની પાંદડીઓ ખાઈને જીવંત રહે છે. મૅન્ગ્રોવમાં રહેલા ખારા અને ઔષધીય તત્ત્વો કારણે ખારાઇ ઊંટનું દૂધ પૌષ્ટિક માનવામાં આવે છે તેનું શરીર અન્ય ઊંટની તુલનામાં પાતળું, પગ લાંબા અને મજબૂત હોય છે, જેથી તરવામાં અને કાદવમાં ચાલવામાં સરળતા રહે. તેની ઊંચી સહનશક્તિ તેને કઠિન પરિસ્થિતિમાં પણ જીવતા રાખે છે.જોકે, ઉદ્યોગીકરણ, પોર્ટ વિકાસ અને મૅન્ગ્રોવ વિસ્તારના ઘટાડાના કારણે આજે આ ઊંટ લુપ્ત થવાની કગાર પર છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:01 am

લગ્ન નોંધણી માટે માતાપિતાની સહમતી, બંધારણીય રીતે કેટલી ટકી શકે?:સિનિયર એડવોકેટે કહ્યું- 'કાયદામાં ફેરફારની સત્તા રાજય સરકાર પાસે છે પણ તે બંધારણીય હક પર તરાપ મારી શકે નહીં'

પાટીદાર, ઠાકોર સમાજ સહિતના અલગ અલગ સમાજમાં છેલ્લા કેટલાક સમયથી 'ભાગેડુ લગ્ન' ચર્ચાનો વિષય બન્યો છે. માતાપિતાની સહમતી વગર થતા લગ્નને સમાજમાં રીતસરના બે ફાંટા જોવા મળી રહ્યા છે. લગ્ન સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની એક વર્ગ માગણી કરી રહ્યો છે. લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, સુરતની આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ નામના યુવક સાથે કરેલા મૈત્રી કરાર અને ભાવનગરની પ્રિયા મોરડિયાએ કરેલા લવમેરેજને લઈ માતાપિતાની સહમતીનો મુદ્દો ફર એકવાર ચર્ચામાં આવ્યો છે. વિવિધ સમાજની માગણીઓ બાદ સરકાર દ્વારા પણ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. જો કે, સરકાર દ્વારા જે ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે તે બંધારણીય રીતે કેટલા ટકી શકે, પુખ્તવયના યુવક-યુવતીઓને લગ્ન માટે કેવા બંધારણીય અધિકાર મળ્યા છે? આ તમામ સવાલોનો જવાબ મેળવા ભાસ્કરે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટિસ કરતા સિનિયર એડવોકેટ સાથે વાતચીત કરી હતી. વિધાનસભા કાયદો પસાર કરી શકે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોય શકે નહીં- અયાઝ શેખએડવોકેટ અયાઝ શેખે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુખ્ત વયની વ્યક્તિ બંધારણીય હક અનુસાર કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. વિધાનસભા લગ્ન નોંધણીને લઈને કાયદો પસાર કરી શકે છે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોઈ શકે નહીં. અત્યારે પણ સ્પેશિયલ મેરેજ એક્ટમાં માતા પિતાને બોલાવી તેમના નિવેદન લેવામાં આવે છે પરંતુ યુવતીનું નિવેદન આખરી ગણાય છે. ક્લાસ- 2 ઓફિસરને માતા-પિતાને જ્યાં સુધી નોટિસ આપીને તેમના જવાબ લેવાની વાત છે તે યોગ્ય છે. કારણ કે તેનાથી બાળકો ખોટા રસ્તે જશે નહીં, પરંતુ, પુખ્તવયનો નાગરિક ગમે તે સાથે લગ્ન કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 7 થી 13 સુધી જુદી જુદી જોગવાઈઓ અંતર્ગત લગ્ન નોંધણીની જોગવાઈ છે. જેમાં લગ્ન નોંધણી માટે આવતા યુવક યુવતીઓની ખાસ કરીને ઉંમરની ચકાસણી કરવામાં આવે છે. જેમાં જન્મનો દાખલો ખાસ ચકાસવામાં આવે છે. સાક્ષીઓની સહી લેવામાં આવે છે. લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને છે. સાથે કેન્દ્ર સરકારને પણ છે, પરંતુ બંધારણીય હક ઉપર તેઓ તરાપ મારી શકે નહીં. પુખ્તવયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં- અનિલ કેલ્લાબાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણે પુખ્ત વયના લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. 18 વર્ષથી ઉપરની યુવતી અને 21 વર્ષ થી ઉપરના યુવકને લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે. તેઓ સ્વેચ્છાએ અને પસંદગીથી લગ્ન કરી શકે છે તેમાં માતા-પિતાની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકાર જે નિયમ બનાવવાનું વિચારી રહી છે, તે કાયદાથી વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બંધારણ વિરુદ્ધ આવા કાયદા અને નિયમોને રદ કર્યા છે. પુખ્ત વયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં. પ્રેમ લગ્નમાં મા-બાપની ઈચ્છા જાણવી લગભગ અશક્ય છે. લગ્ન નોંધણી પ્રક્રિયાની નિયમોમાં ફેરફાર રાજ્ય સરકાર કરી શકે છે, પરંતુ તે ફેરફારો બંધારણને આધીન હોવા જોઈએ તેનાથી ઉપર નહીં. માતાપિતાની સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ- અલકા જાનીફેમિલી કેસ લડતા મહિલા વકીલ અલકા જાનીએ જણાવ્યું હતું કે માતા પિતાની ઇનડાયરેક્ટ પરવાનગી લેવાનો આ પ્રસ્તાવિત નિયમ ઉમદા વિચાર છે. પ્રેમલગ્નથી લગ્ન પ્રથા નિષ્ફળ બની રહી છે. માતા-પિતાની જો સહમતી ન મળે તો બાળકો વિદ્રોહ કરી શકે છે. તેથી સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ. જો માતા પિતા સહમતી ન આપે અને લગ્ન નોંધણી ન થાય તો લિવ ઇન રિલેશનશિપમાં મોટો ઉછાળો આવશે. ભારતમાં લગ્ન કોન્ટ્રાક્ટ નહીં, પરંતુ સંસ્કાર છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકે છે. તેના માટે વિધાનસભામાં ખરડો પસાર કરવો પડે. ક્લાસ- 2 અધિકારી લગ્ન કરનાર યુવક યુવતીના માતા પિતાને નોટિસ આપીને લગ્નની જાણકારી આપી શકે. પરંતુ તેમની મંજૂરી વધારે પડતું છે. 21 વર્ષનો યુવક અને 18 વર્ષ કે તેથી ઉપરની યુવતી ગમે તે સાથે લગ્ન કરીને તેની નોંધણી કરાવી શકે છે પરંતુ સાંસ્કૃતિક રીતે લગ્ન થવા જરૂરી છે. લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા સરકારની વિચારણારાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. નવા પ્રસ્તાવ મુજબ ભાગેડુ લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી સમયે ક્લાસ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત થઈ શકે છે. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે. આ સમાચાર પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાની સંમતિ જરૂરી?, અમદાવાદીઓ સામ-સામે આવ્યા રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પ્રેમલગ્ન બાબતે શું કહી રહ્યા છે ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રીઓ? વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને એનો ઉકેલ શું હોઈ શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની સરકારને રજૂઆત:સંતાનોના લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગ પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ સંતાનોના લગ્ન પહેલા માતા-પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત બનાવવાની માગ સાથે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વલ્લભ કાકડિયા લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આગેવાન તરીકે ઓળખાય છે અને પરિવાર તથા સમાજને અસર કરતી સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પ્રેમલગ્ન-મૈત્રી કરારના કાયદામાં ફેરફારની માગ:વિજાપુરમાં 'પાસ'ની ટીમે 50થી દીકરીઓને માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી ગુજરાતમાં પ્રેમલગ્ન અને મૈત્રી કરારના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ વધુ ઉગ્ર બની છે. સમગ્ર રાજ્યમાં રેલીઓનું આયોજન કર્યા બાદ, હવે જૂની પાસ (PAAS)ની ટીમ દ્વારા ગામડે-ગામડે જઈને દીકરીઓને શપથ લેવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ માતા-પિતાની મરજી મુજબ જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેશે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:00 am

કેન્દ્ર સરકારે રૂ.5631 કરોડ આપ્યા, ગુજરાતે વાપરવામાં ઠાગાઠૈયા કર્યા:એક જ વિભાગના અધિકારીઓ બે જૂથમાં વહેંચાયા, આંધ્રપ્રદેશના નેતાના સંબંધીને ફાયદો કરાવવા સોંગઠા ગોઠવાયા

ગુજરાતના વિકાસ માટે ‘ડબલ એન્જિન સરકાર’ના નારા તમે ચૂંટણી સમયે ઘણા સાંભળ્યા હશે. પણ એક હકીકત જોતા એવું લાગે છે કે અધિકારીઓની આળસના કારણે ગુજરાતનું ગ્રોથ એન્જિન ધીમું પડ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને ત્રણ મોટા પ્રોજેક્ટ માટે 5631 કરોડ રૂપિયા છુટ્ટા હાથે આપ્યા હતા. પણ ચાર મહિનાથી ટેન્ડર કામગીરી અદ્ધરતાલ થઈ ગઈ અને વારો એવો આવ્યો છે કે માર્ચ, 2026 સુધીમાં કેન્દ્ર સરકારને સાડા પાંચ હજાર કરોડ કરતા વધુની રકમ વાપર્યા વગર પાછી આપવી પડી શકે છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં આજે વાંચો ગુજરાતના એવા ત્રણ પ્રોજેક્ટ વિશે, જેનું કામ પૂરું થાય તો કરોડો ગુજરાતીઓનું જીવન સરળ થઈ શકે છે. તેમ છતાં આ પ્રોજેક્ટના ટેન્ડરમાં જ કેમ ગોલમાલ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે? આ પાછળ કોનું હિત સચવાયેલું હોઈ શકે છે? અને બે અધિકારીઓની બદલીથી કેવી રીતે આખી પ્રક્રિયા પાટા પરથી ઉતરી ગઈ? દેશભરના ગામડાઓમાં આરોગ્યની યોજનાઓનો લાભ લેવો હોય, શિક્ષણને લગતી યોજનાના ફોર્મ ભરવા હોય કે પછી મહેસુલને લગતા વિવિધ ઉતારા અને નકલો કઢાવવી હોય કે પછી શહેરી વિકાસ વિભાગ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવો હોય, લોકોના આવા બધા કામો ઝડપથી અને સરળતાથી થઈ જાય એ માટે કેન્દ્ર સરકારે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેનું નામ ભારત નેટ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ થકી દેશભરના તમામ ગામોને ઈન્ટરનેટથી જોડી લેવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ફાઈબર કેબલ્સ નાખીને ઈન્ટરનેટની સુવિધા અપાશે. જેના માટે દેશના કોઈપણ રાજ્યએ પોતાની તિજોરીમાંથી એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. તમામ ખર્ચો કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ થશે. આ દૂરદર્શી પ્રોજેક્ટને લાગુ કરવા માટે થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે દોઢ લાખ કરોડનું બજેટ બહાર પડ્યું હતું. જેમાં વિવિધ કંપનીઓને વર્કઓર્ડર આપી દેવાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ભારત નેટ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2નું કામ થઈ ચૂક્યું છે. હવે ફેઝ-3ના કામ માટે ભારત નેટ, ગુજરત સરકાર અને વચ્ચે BSNL વચ્ચે 14 જૂન 2025ના રોજ MoU થયા હતા. ત્યાર બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયએ ગુજરાતને 5631 કરોડની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળ્યા બાદ ગુજરાત સરકારે અલગ-અલગ ત્રણ પ્રોજેક્ટ હેઠળ યોજનાને લાગુ કરવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી. પણ આ ટેન્ડરના કામમાં ઘણી બેજવાબદારી દાખવવામાં આવી હોવાનું ખુલાસો દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છે. જેના પરિણામે ટેન્ડર ભરનારી કંપનીઓના કરોડો રૂપિયા એક રીતે ફસાઈ ચૂક્યા છે અને ખુદ મંત્રીના ધ્યાને આ મુદ્દો આવતા અંદરખાને દોડધામ મચી ગઈ છે. ટેન્ડર-1નું ટેકનિકલ ઇવેલ્યુએશન થઈ ગયું છે અને ભાવ પણ ખોલી દેવાયા હતા. તેમાં ઇઝરાયેલની રીબન કંપની L-1 આવી હતી. અમેરિકાની સિસ્કો નામની કંપની 145 કરોડ રૂપિયાના ટેન્ડર સાથે L-2 અને નોકિયા 151 કરોડ રૂપિયાના ટેન્ડર સાથે L-3 આવી હતી. નિયમો મુજબ L-1 કંપનીને વર્કઓર્ડર આપવાનો થાય છે, પરંતુ એક નનામી અરજીને કારણે ઓર્ડર અપાયો નથી. અરજીમાં આક્ષેપ કરાવામાં આવ્યો છે કે આ ટેન્ડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. પોતાની માનીતી કંપનીને હવે ટેન્ડર મળી શકશે નહીં તેવું લાગતા સમગ્ર ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા અટકાવી દેવા માટે જાતજાતના આક્ષેપો સાથેનો પત્ર લખાયો હતો. જેમાં કેટલું તથ્ય છે તેની હજુ સુધી કોઈને ખબર પડી નથી. વળી, આ ટેન્ડર બીજીવારનું છે. ગયા વર્ષે 180 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે પોલીકેબ L-1 આવી હતી, પરંતુ તેણે સમયસર કામગીરી ન કરતાં ટેન્ડર રદ કરાયું હતું. હાલમાં આ જ ટેન્ડર માત્ર 128 કરોડ રૂપિયામાં ગયું છે, જે એક વર્ષમાં લગભગ 30 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. આ વખતે ફાઇલને કમિટીમાં મંજૂરી મળી ગઈ છે અને માત્ર વર્કઓર્ડર આપવાનો બાકી છે. બાકીના બે ટેન્ડરના ભાવ ખોલવાના બાકી છે. આમ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે બહાર પાડેલા અલગ-અલગ ત્રણેય ટેન્ડર ભરાઈ ગયા છે. આ ટેન્ડરમાં QCBS પદ્ધતિ (ક્વોલિટી એન્ડ કોસ્ટ બેઝ સિલેક્શન) નથી. પરંતુ ક્વોલિટી ક્રાઈટેરિયા છે. એટલે કે પ્રેઝન્ટેશન રખાયું હતું. જેમાં લગભગ તમામ કંપનીઓ ક્વોલિફાઈ થઈ ગઈ છે. ત્યાર બાદ ટેક્નિકલ ઈવેલ્યુએશન પણ થઈ ગયુ છે. હવે પ્રાઈઝ ઓપન કરવાની છે. જે કંપની L-1 આવે તેનો વર્કઓર્ડર આપવાનો રહેશે. ત્રણ જગ્યાએથી મંજૂરી મળી છતાં ટેન્ડર ટલ્લે ચડ્યાટેન્ડર માટે ભારત નેટ બોર્ડની મંજૂરી લેવી ફરજિયાત છે. ગુજરાત સરકારે આ મંજૂરી લઈને જ ટેન્ડરો જારી કરાયા હતા. ગુજરાતમાં પણ ભારત નેટનું એક બોર્ડ છે, જેનું નામ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ છે. જેમાં રેવન્યુ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને પંચાયત વિભાગના સચિવો સભ્ય હોય છે. એટલે ટેન્ડર બહાર પાડતા પહેલાં આ કમિટીની પણ મંજૂરી જરૂરી હોય છે. નિયમો અનુસરીને આ કમિટીની મંજૂરી હતી. ત્યાર બાદ ટેન્ડર જારી કરવા માટે કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયની પણ મંજૂરી લેવાઈ હતી. આટલી મોટી કિંમતના મહત્વના ટેન્ડર અટકવાનું કારણ શું?છેલ્લા પાંચેક વર્ષથી સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં કોઈપણ ટેન્ડર ઝડપથી ક્લિયર થઈ શકતા નથી. ચારેક મહિના પહેલા આ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારની રાતોરાત બદલી કરી દેવાઈ હતી. જ્યારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડના ડાયરેક્ટર સંજય ગાર્ડન પાસેથી રાજીનામું લઈ લેવાયુ હતું. તેમની સામેની આ કાર્યવાહી એક નનામી અરજીને કારણે આ કાર્યવાહી કરાઈ હતી. જેમાં સંજય ગાર્ડન કાયમી નહીં હોવાની ફરિયાદ થઈ હતી. સંજય ગાર્ડનને હટાવ્યા બાદ સરકારે આ પોસ્ટ માટે તુરંત જ જાહેરાત આપી દીધી હતી. જેના માટે બે ડઝનથી વધુ અરજી આવી છે પણ ચાર મહીના પછી પણ સરકારે હજુ સુધી આ પદ પર ભરતી કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી. વળી, આ જ સમયગાળામાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં સચિવ તરીકે પી. ભારતીને જવાબદારી સોંપવામાં આવી. જ્યારે સંજય ગાર્ડનની કેટલીક જવાબદારી તેનાથી સાવ જૂનિયર ગણાતા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી સંજય પ્રજાપતિને તેમજ કેટલીક કામગીરી કલ્પેશ પટેલને સોંપાઈ છે. આ સ્થિતિમાં કોઈ અધિકારી ટેન્ડરમાં જોખમ લેવા માગતુ ન હોવાથી કામ લટકી પડ્યું છે. ટેન્ડર આગળ વધારવા કે રદ કરવા? અધિકારીઓમાં પણ ફાંટાકરોડો રૂપિયાના ટેન્ડર અત્યારે તો ફાઈલોમાં અને અધિકારીઓની ખેંચતાણમાં અટવાઈ ગયા છે. કેટલાક અધિકારીઓનું જૂથ અને ટેન્ડર ભરનારી કંપનીઓ આ ટેન્ડરમાં આગળની પ્રક્રિયા ઝડપથી આગળ ધપે અને ટેન્ડર રદ ન થાય તેવા પ્રયાસો કરી રહી છે. જો કે એક જૂથ ઈચ્છે છે કે આ તમામ ટેન્ડર કેન્સલ થાય અને ફરીથી ટેન્ડર થાય તો પોતાની માનિતી કંપનીઓને ઘુસાડી શકાય. આની પાછળ રાજકીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંંબંધીની કંપનીનું હિત હોવાની ચર્ચાએક એવી ચર્ચા ચાલી રહી છે કે આ ટેન્ડરો મેળવવામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંબંધીની એક કંપનીને પણ રસ છે. આ કંપનીની ટ્રાન્સકોડર ટેક્નોલોજી ઘૂસાડવા દલાલી કરવા માટે સુરતનો જીજ્ઞેશ નામનો જમીન દલાલ એક ટોચના અધિકારીને મળવા ગયો હતો. તેણે આ અધિકારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સૂત્રો તો ત્યાં સુધી જણાવે છે કે આ અધિકારીને વહીવટની લાલચ પણ આપી હતી. એવું પણ કહ્યું કે તમારાથી સિનિયર સાહેબનો આદેશ છે કે તમામ ટેન્ડરોને રદ કરી દો. જો કે અધિકારીએ તેમની વાતને ગણ્યા વગર જ ઓફિસમાંથી ભગાડી દીધો હતો. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ પણ ટેન્ડર મામલે અપડેટ્સ લીધીકેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા થોડા દિવસો પહેલાં જ વડોદરા આવ્યા હતા. એ સમયે તેમણે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી પી.ભારતી સાથે બેઠક પણ કરી હતી. ચર્ચા મુજબ, સિંધિયાએ અટકી પડેલા ટેન્કરનું કામ ઝડપથી પૂરું કરવા માટે સૂચના આપી હતી. એટલે મામલો ઘણો ગંભીર બન્યો છે. સરકારને થનારી લિઝિંગની આવક ઉપર પણ હવે પ્રશ્નાર્થ લાગી ગયોએરટેલ, વીઆઈ જેવી મોટી કંપનીઓ પોતાની રીતે આંતરિયાળ ગામોમાં ફાઈબર કેબલ નેટવર્કની સેવા આપતી નથી. કારણ કે એમાં ખર્ચ વધુ આવે છે. જેથી આવી કંપનીઓ સરકારે નાખેલા ફાઈબરને લીઝ પર લઈને પોતાની સેવાઓ પૂરી પાડે છે. જેના બદલામાં કંપનીઓ ભાડા પેટે સરકારને મોટી રકમ પણ ચૂકવતી હોય છે. ઘણા રાજ્યોમાં આવું ચાલે છે. ફેઝ-3ના ટેન્ડરને પગલે આવી કંપનીઓએ લિઝિંગ માટેની તૈયારી દર્શાવી હતી. પરંતુ હવે ટેન્ડરોના જ ઠેકાણા નહીં હોવાથી આ કંપનીઓ પાસેથી થતી આવકનો વિકલ્પ પણ છીનવાઈ ગયો છે. કંપનીઓની 100 કરોડની EMD ફસાઈઆ તમામ ટેન્ડરોમાં વિવિધ કંપનીઓએ સરકારમાં અંદાજે 100 કરોડની રકમની તો EMD (અર્નેસ્ટ મની ડિપોઝીટ) તરીકે ભરેલી છે. હવે તે ક્યારે પરત મળશે તેની કોઈને સ્પષ્ટતા નથી. હાલમાં તો વિવિધ કંપનીએ EMD તરીકે ભરેલી આ જંગી રકમ ફસાઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆતો થયા બાદ તેમની સૂચનાથી વિભાગ દ્વારા ટેન્ડર ભરનારી કંપનીઓને ઈ-મેઈલ કરાયા છે. જેમાં EMD ની મુદતને એક્સ્ટેન્ડ કરવાની વિનંતી કરાઈ છે. એવો અર્થ એવો થયો કે હવે આગામી સમયમાં લટકી પડેલા ટેન્ડરોને આગળ ધપાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જો ટેન્ડર કેન્સલ થશે તો પછી ટેન્ડર પ્રક્રિયાનું કામ કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લેશેગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચાડવાના કરોડ રૂપિયાના ટેન્ડર કરવાની મંજૂરી કેન્દ્રએ ગુજરાતને આપી હતી. અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકારે જ ટેન્ડર કર્યા હતા. જો ગુજરાતમાં આ ટેન્ડર રદ કરાશે, તો ગુજરાત ફરીથી ટેન્ડર જારી કરી શકશે નહીં. ત્યાર બાદ કેન્દ્ર સરકાર 5631 કરોડ રૂપિયાની જંગી રકમ પોતાની પાસે લઈ લેશે. એટલું જ નહીં, આ ટેન્ડરનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લેશે. જેમાં 7 થી 8 મહિનાનો સમય લાગી શકે છે અને ગુજરાતની છબી પણ નબળી પડશે એ વાત પણ નક્કી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:00 am

વીજકાપ:પશ્ચિમના વિસ્તારોમાં મંગળવારે સાંજે, બુધવારે સવારે પાણીકાપ

જાસપુર ખાતે તેમ જ અન્ય સ્થળે પાણીની 11 લાઇનનાં જોડાણો કરવાના હોવાથી 6 જાન્યુઆરીએ સવારે પાણીનો સપ્લાય આપ્યા બાદ પાણી બંધ કરાશે. 7મીએ આ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી અપાશે. પશ્ચિમના વિસ્તારોમાં મંગળવારે સાંજે, બુધવારે સવારે પાણી નહિ મળે. જાસપુરના નવા બનેલા 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 2200 મીમી વ્યાસની પાઇપને હાલની 2 હજાર તથા 2500 મીમી વ્યાસની લાઇન સાથે જોડાશે. આ સિવાય ભાડજ, શીલજ, સિંધુભવન, ઘાટલોડિયા, નિરમા યુનિવર્સિટી, છારોડી તળાવ પાસે પાણી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:59 am

દુર્ઘટનાની ભીતિ:રૂ. 50થી 100 ભાડું બચાવવા જોખમી રેલવે પુલનો ઉપયોગ

સુભાષબ્રિજ બંધ હોવાથી ઘણા લોકો નદી પાર કરવા માટે રેલવેને સમાંતર બનાવેલા એક જોખમી કાચા પુલનો ઉપયોગ કરી રહ્યા છે. 50 વર્ષ પહેલાં પગપાળા જવા માટે રેલવેએ ટ્રેન ટ્રેકને સમાંતર પુલ બનાવ્યો હતો. સ્થાનિક રહીશ મુકેશ દવેએ જણાવ્યું કે, આ બ્રિજ પરથી ફરી લોકોએ અવરજવર શરૂ કરી છે. બંને તરફ શાહીબાગ કે સુભાષબ્રિજ તરફ જવા માટે નાગરિકોએ 7 થી8 કિમી ફરવું પડે છે. રિક્ષા કે અન્ય વાહન મારફતે આવવા માટે પણ રૂ. 50થી 100 જેટલો ખર્ચ થાય છે. આ સ્થિતિમાં રોજના 4 હજાર કરતાં ‌વધારે નાગરિકો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિજ પર પતરાનાં વેલ્ડિંગ ખૂલી ગયાં છે, જે અકસ્માત નોતરી શકે છે. શાહીબાગથી સુભાષબ્રિજને જોડતી રેલવે લાઇનને સમાંતર બાજુમાં જ નદીના બંને છેડા સુધી લોકો પગપાળા અવરજવર કરી શકે તે માટે તે તૈયાર કરાયો હતો. 1 મીટર પહોળો અને 800 મીટર લંબાઈના આ રસ્તાનો પહેલા ટ્રેનોને સિગ્નલ આપવા માટે ઉપયોગ કરાતો હતો. તેની પર લાકડાના સ્લીપર (રેલવે લાઇન પર લગાવાતા લાકડાના સ્લીપર) મુકાયા હતા. લોકો આ રસ્તા પરથી પસાર થતા હતા. સુભાષબ્રિજ બન્યા બાદ આ બ્રિજનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો. 1970માં ટોલ ટેક્સ પેટે 10 પૈસા વસૂલાતા હતા1970માં શહેરમાં સાઇકલ આવતાં બ્રિજ પરથી પસાર થતાં લોકો પાસેથી ટોલ ટેક્સ પેટે 10 પૈસા વસૂલાતા હતા. આ રૂટ પર 7 થાંભલા લગાવાયા હતા, જેના પર ફાનસ લગાવીને લાઇટ કરવામાં આવતી હતી. ફાનસમાં કેરોસીન ભરવા માટે રેલવેના કર્મચારીઓ આ બ્રિજ પર જતા હતા. _photocaption_શાહીબાગથી રેલવે લાઇનને સમાંતર પુલનાં પતરાં પણ તૂટેલી હાલતમાં છે.*photocaption*

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:59 am

ઓસ્ટ્રેલિયા ટુ માધાપર:બીગ બેસ લીગની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૩ આરોપી જબ્બે

માધાપરમાં નળ સર્કલ નજીક આવેલ સનરાઈઝ સીટી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બેસી બીગ બેસ લીગની 20 ઓવરની ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમતા ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે.જેમની પાસેથી અલગ અલગ આઈડીમાં 1.30 કરોડ બેલેન્સ સહીત 12 મોબાઈલ અને એક ટેબ્લેટ કબ્જે કરવામાં આવ્યા છે અને વધુ ચાર આરોપીની સંડોવણી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,નળ સર્કલ નજીક આવેલ સનરાઈઝ સીટી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં આરોપી ચિંતન હસમુખ ઠક્કર પોતાના મળતિયાઓ સાથે હાલમાં ચાલી રહેલ 20 ઓવરની ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમી રહ્યો છે.બાતમીને આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા આરોપી ચિંતન સહીત હિરેન હસમુખ ઠક્કર અને પ્રિન્સ વિપુલ ઠક્કર હાજર મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઈલ અને ટેબ્લેટ કબ્જે કરી તપાસ કરતા તેમાં ક્રિકેટ સટ્ટો રમવા માટે અલગ અલગ આઈડીમાં રૂપિયા 1.30 કરોડ બેલેન્સ રાખેલું હતું.તેમજ આરોપીઓ પોતાના ગ્રાહકોને બીગ બેસ લીગમાં સિડની થન્ડર-હોબાર્ટ હેરીકન્સ વચ્ચે ચાલતી મેચનું લાઈવ અપડેટ જોઈ હારજીતનો સટ્ટો રમતા હતા.પોલીસની પૂછપરછ દરમિયાન પાલનપુરના આરોપી અજય ઠક્કર,ભુજના કિશન રામજી ઠક્કર,વિક્કી ઠક્કર અને ભચાઉના બીપીન લુહારની સંડોવણી સામે આવી છે.આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:57 am

સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ:સાણંદ જીઆઈડીસીમાં સૌર, પવન ઊર્જાથી 25 ટકા વીજળીનો ઉપયોગ

સાણંદ જીઆઇડીસી માત્ર ઉત્પાદનનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું પ્રેરણાદાયક મોડલ બની રહ્યું છે. 100 ટકા ગ્રીન વીજળી તરફનાં દૃઢ નિશ્ચય સાથે સાણંદ જીઆઈડીસી હાલ 25 ટકાના ટાર્ગેટને પૂર્ણ કરી ચૂકી છે. હાલ અહીં 600 નાના-મોટા ઔદ્યોગિક યુનિટ છે. જ્યારે અંદાજે 80 મેગાવોટ વીજળીની જરૂરિયાત રહે છે, જે બે વર્ષમાં વધીને 150 મેગાવોટ થઈ શકે છે. હાલ ઉપયોગમાં લેવાતી વીજળીમાંથી 22થી 25 ટકા સોલર અને વિન્ડપાવર જેવી ગ્રીન ઊર્જા સ્ત્રોતોથી પ્રાપ્ત થાય છે. 2030 સુધી 100% ગ્રીન એનર્જી આધારિત કરવાનું લક્ષ્યસાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને વિઝન 2030 અંતર્ગત 2030 સુધીમાં સાણંદ જીઆઈડીસીને 100 ટકા ગ્રીન વીજળી આધારિત ઔદ્યોગિક વિસ્તાર બનાવવાનો મક્કમ સંકલ્પ લીધો છે. માત્ર રૂફટોપ સોલર પર નિર્ભર ન રહી, ગ્રૂપ કેપ્ટિવ પાવર પ્રોજેક્ટ જેવી નવીન યોજનાઓ દ્વારા પણ ઉદ્યોગકારોને ગ્રીન વીજળી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. > અજિત શાહ, પ્રમુખ, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:56 am

ગામની વચ્ચે રોજની 400 ઓવરલોડ ગાડીઓની અવરજવર:ભારે વાહનોના કારણે બળદિયામાં ભયનો માહોલ ટ્રેઇલર નીચે બાઇક ચગદાઇ, ચાલકનો થયો બચાવ

ભુજ તાલુકાના બળદિયા ગામમાં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરે ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે. રવિવારે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. રવિવારે બળદિયા ગામથી જુમખા તરફ જતા વળાંક પાસે એક બેકાબૂ ટ્રેલર નીચે બાઇક આવી ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર રમેશભાઈ પટેલ નામના વ્યક્તિ ટ્રેલરના ટાયર નીચે આવતા સહેજમાં બચી ગયા હતા, જોકે તેમના પગમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામની મધ્યમાંથી દરરોજ અંદાજે 400 જેટલા કાંકરી તેમજ અન્ય માલ સામાન ભરેલા ભારેખમ અને ઓવરલોડ વાહનો પસાર થાય છે. આ ઓવરલોડ ટ્રકો અને ટ્રેલરોને કારણે રસ્તાઓ પર ચાલવું પણ જોખમી બની ગયું છે. સ્થાનિકોના મતે, ભારે વાહનોના કારણે હવે રસ્તા પર નીકળતા દરરોજ મોત દેખાય છે. રોજિંદા ટ્રાફિક અને વારંવાર થતા અકસ્માતોથી કંટાળેલા બળદિયાના ગ્રામજનોએ આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી ટ્રાફિકને અન્યત્ર વાળવાની ઉગ્ર માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:55 am

પ્રગતિશીલ ખેડૂત:દાહોદના ચેનપુરના ખેડૂતનું ‘ઝીરો બજેટ- હાઇ પ્રોફિટ’ ખેતીનું મોડલ

ખેતીએ ખર્ચાળ વ્યવસાય છે તે વાયકાને દેવગઢ બારિયાના ચેનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પર્વતભાઇ અમરાભાઇ પટેલે ખોટી સાબિત કરી છે. છેલ્લા 12 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આધૂનિક ટેકનોલોજી અને કુદરતી સંશાધનોના સંયોજનથી ‘ઝીરો બજેટ – હાઈ પ્રોફિટ’ ખેતીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે આ કઇ રીતે કર્યું તેની વિગત તેમની પાસેથી જ જાણીએ..... હું પર્વત પટેલ, દાહોદ જિલ્લાના ચેનપુર ગામનો એક ખેડૂત છું અને મારી 7 એકર જમીનમાં ગર્વ સાથે ખેતી કરી રહ્યો છું. મારા ખેતરમાં કોઈ એક પાક પર નિર્ભર રહેવાને બદલે ત્રણેય ઋતુમાં અલગ-અલગ પાકો લઉં છું. અત્યારે મારા ખેતરમાં સ્ટ્રોબેરી સાથે ટામેટા, લસણ, ડુંગળી, આદુ, મકાઈ, ચણા, હળદર, મરચી, રીંગણી, ભીંડા અને ચોળી જેવા અનેક શાકભાજી લહેરાઈ રહ્યા છે. આટલું જ નહીં મેં 80 નંગ કેસર કેરીના આંબાની વાડી અને ફૂલોની ખેતી પણ વિકસાવી છે. હવે આવનારા ઉનાળામાં મેં તડબુચ અને ત્યારબાદ મગફળીનું વાવેતર કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. ઘણાને નવાઈ લાગે છે કે સ્ટ્રોબેરી જેવો પાક, જે ખૂબ જ સંભાળ માંગે છે, તે હું કેવી રીતે ઉગાડું છું? પણ હું આ તમામ ખેતી કોઈપણ રાસાયણિક ખાતર કે ઝેરી દવા વગર માત્ર મારી ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી જ કરું છું. આ પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે મારી જમીનમાં નિંદણ ઘણું ઓછું થાય છે. જેના કારણે મજૂરી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. ખેતીમાં આધુનિકતા લાવવા મેં ખેતરમાં સોલાર સિસ્ટમ અને ડ્રીપ ઈરિગેશન (ટપક સિંચાઈ) અપનાવી છે. જેનાથી વીજળીનું બિલ તો બચે જ છે પણ સાથે પાણીની પણ ખૂબ બચત થાય છે. મેં હંમેશાં માન્યું છે કે ખેતીમાં કંઈ પણ નકામું નથી. એટલે જ મેં ખેતરમાં જ એક બાયો-ગેસ પ્લાન્ટ નાખ્યો છે. ખેતીનો કચરો અને પશુઓના છાણને હું તેમાં નાખું છું. જેનાથી મને રાંધણ ગેસ મળે છે. આ પ્રયોગથી જ મારા વર્ષના અંદાજે 12 હજાર રૂપિયાના ગેસના બોટલનો ખર્ચ બચી જાય છે. આજે મારા ખેતરની મુલાકાતે જિલ્લાના જ નહીં પણ અન્ય રાજ્યના ખેડૂતો પણ આવે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. પ્રાકૃતિક ખેતીથી મળતો પાક શુદ્ધ અને ઓર્ગેનિક હોય છે, જેનાથી બજારમાં ભાવ પણ સારો મળે છે. ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી બસ તેને નફાકારક બનાવવી એ આપણા પોતાના હાથમાં છે. મારી આ ‘લો બજેટ અને હાઈ પ્રોફિટ’ પદ્ધતિ આજે મારા વિસ્તારના ખેડૂતોને નવી દિશા બતાવી રહી છે. પ્રાકૃતિક હોવાથી બમણો ભાવ મળે છેપર્વતભાઇના ખેતરમાં ગાય આધારિત અને રાસાયણમૂક્ત ઉપજ થતી હોવાથી તેની ગુણવત્તા અને સ્વાદ અદભૂત મળે છે. શુદ્ધ ઓર્ગેનિક ઉત્પાદન હોવાને કારણે બજારમાં તેમને સામાન્ય પાક કરતા વધુ ઊંચો ભાવ મળી રહે છે. ગ્રાહકો સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે સામે ચાલીને તેમના ખેતરે જાય છે. જેનાથી તેમને વધુ વેચાણ માટે ક્યાંય ભટકવું પડતું નથી અને સીધો નફો મળે છે. -(ઇરફાન મલેક સાથેની વાતચીતના આધારે)- પર્વતભાઇ પાસેથી જાણો વધુ વિગત સંપર્ક નંબર : 9727488705

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:55 am

પાટીલે પાટલી બદલીને બધાની નજર ચોંટી ગઈ!:નાગરીકે વખાણ કર્યાં અને ધારાસભ્ય ભવા ઉંચા કરી સાંભળતા રહ્યા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:55 am

મંડે પોઝિટીવ:પ્રજ્ઞાચક્ષુઓની રસોઈનો જાદુ ! રોટલોથી લઈને સેન્ડવિચ બનાવી જીત્યા દિલ

ભુજ શહેરના હાટ ખાતે યોજાયેલ રસોઈ શોમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો આત્મવિશ્વાસ અને પ્રતિભાનો જીવંત પુરાવો હતો. આ અનોખા કાર્યક્રમમાં રાજ્યભરની પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા અંદાજે 30 જેટલા રસોઈ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બહેનોએ પોતાના અનુભવના આધારે રસોઈ બનાવતી વખતે સામગ્રી ઓળખવાની રીત, મસાલાનું પ્રમાણ અને રસોઈની પ્રક્રિયા વિશે પૂરા આત્મવિશ્વાસથી રજૂઆત કરી હતી. આ સ્ટોલોમાં સ્વીટ, ફાસ્ટફૂડ ઉપરાંત ઓળો રોટલો, ચાપડી ઉંધિયું, ઉપમા, સેન્ડવિચ, પકોડા અને ભજીયા સહિત 30 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ રસોઈ શોનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની અંદર રહેલી ક્ષમતાઓને સમાજ સમક્ષ રજૂ કરવાનો અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક તરીકે લાયન્સ ક્લબ ભુજના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રમીલાબહેન જાડેજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની પ્રતિભા, સંઘર્ષ અને આત્મનિર્ભરતાને ઉજાગર કરતો આ રસોઈ શો ભુજ માટે ગૌરવની ક્ષણ બન્યો જ્યાં દૃષ્ટિ વગર પણ વિશ્વાસ અને સ્વાદ બંને સંપૂર્ણ હોવાનું સાબિત થયું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:53 am

ભાસ્કર ઈનસાઈડ:પંચમહાલ જિ.માં કમોસમી વરસાદથી નુકસાનને ભૂલીને ખેડૂતોએ 66 હજાર હે.માં શિયાળુ પાક કર્યો

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી 17850 હેકટરના પાકને નુકસાન થયા બાદ જિલ્લાના ખેડૂતોએ 66 હજાર હેકટરમાં શિયાળુ પાક કર્યો છે. જેમાં સૌથી વધુ મકાઇ 33 હજાર અને ઘઉનો પાક 15 હજાર હેકટરમાં કર્યો છે. આ વર્ષે સરેરાશ કરતા વધુ જમીનમાં શિયાળુ પાક ખેડૂતોએ કર્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસાદ આધારીત ખેતી થતી હોવાથી ચોમાસું પાક 1.70 લાખ હેક્ટરમાં થયા છે. પણ શિયાળામાં પિયતની સગવડ ઓછી હોવાથી ખેતીલાયક જમીનમાં વાવેતર ઓછુ થાય છે. જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળામાં 66445 હેકટરમાં પાક થયો છે. જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે ખેતીમાં નુકસાન થવા પામ્યું હતું. જેની કસર કાઢવા જિલ્લાના ખેડૂતોએ સરેરાશ કરતા વધુ જમીનમાં શિયાળુ પાક કર્યો છે. પરંતુ આ વખતે નવેમ્બર-ડિસેમ્બર માસ પૂર્ણ થઇને જાન્યુઆરી માસ શરૂ થયો હોવા છતાં ઠંડીની અસર નહિવત જોવા મળી રહી છે. જેની અસર શિયાળું પાક પર જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ શિયાળા પાકના 66 હજાર વાવેતરમાંથી પિયત ઘઉંનું વાવેતર 15854 હેક્ટરમાં થયું છે. જિલ્લામાં આવનારા 10 દિવસમાં વાવેતર વધવાની શકયતાઓ જોવાઇ રહી છે. ત્યારે જિલ્લામાં સરેરાશ 3 વર્ષની 64 હજાર હેક્ટર વાવેતરમાંથી ચાલુ વર્ષે 4 ડિસેમ્બર સુધી 66445 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં મુખત્વે ઘઉં, ચણા, મકાઇ, ઘાસચારો તથા શાકભાજી છે. ત્યારે ચાલુ વર્ષ જિલ્લામાં સૌથી વધારે મકાઇનું વાવેતર 33547 હેક્ટરમાં થયું છે. શાકભાજીનું 5529 અને ધાસચારાનું 8962 હેક્ટરમાં વાવતેર કર્યું છે. સરેરાશ કરતા વધુ શિયાળુ પાક થયો છે જિલ્લામાં ધંઉનુ વાવતેર 15854 હેકટરમાં થયું છે. ઠંડી વધશે તો ઘઉંનો સારો પાક ઉપજશે. જિલ્લામાં શિયાળું પાક સરેરાશ 66 હજાર હે.માં થયું છે. પિયતની સગવડ ઓછી હોવા છતા આ વખતે સરેરાશ કરતા વધુ શિયાળું પાક ની ખેતી થઇ છે.- એમ.જી.પટેલ, ખેતીવાડી અધિકારી 7 દિવસે પાકની તપાસ કરો ઉનાળા પાક કમોસમી વરસાદથી ફેઇલ થયો છે. ત્યારે જિલ્લામાં 66હજાર હેકટરમાં શિયાળુ પાક કર્યો છે. ત્યારે ખેડૂતોએ વાવણી પછી 7–10 દિવસમાં અંકુરણ સમાન આવે કે નહીં તે તપાસો,જ્યાં અંકુરણ ન આવ્યું હોય ત્યાં રી-સીડિંગ કરો,પાણી ભરાઈ રહે તો તરત નિકાલ કરો — નહિ તો બીજ સડી જાય,ભેજ રહે પણ કાદવ ન થાય તે ધ્યાન રાખો,7–10 દિવસએ પાક તપાસો,પાન પીળા, સુકાઈ, દાગ દેખાય તો તરત સલાહથી દવાનો છંટકાવ કરો

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:47 am

નોટિફિકેશન બહાર પાડતા ગ્રામજનોએ ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત કરી‎:ગોધર તાલુકામાં સમાવેલ 10 ગામોનો પુન: શહેરા તાલુકામાં સમાવેશ કરાયા

શહેરા તાલુકાના 10 ગામોનો મહિસાગરના નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ નોંધાવી રજુઆત કરી હતી. નોટિફિકેશન બહાર પાડી 10 ગામોનો પુન: શહેરા તાલુકામાં સમાવેશ કરાયા. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા બોરીયા, ચારી, ખુટખર, બલુજીના મુવાડા, કોઠા, જુનાખેડા, આસુંદરીયા, મોર, ઉંડારા અને રમજીની નાળ મળી 10 ગામોનો મહિસાગર જિલ્લાના નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. તમામ 10 ગામોના લોકોએ શહેરાના ધારાસભ્ય અને વહીવટી તંત્રથી લઈને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી તેમના ગામો શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી હતી. 10 ગામોના લોકોના વિરોધ વચ્ચે શહેરાના ધારાસભ્યે પણ પાનમ ડેમ વિસ્તારના 10 ગામો શહેરા મતવિસ્તારમાં આવતા હોવાની સાથે જિલ્લો પણ અલગ પડી જતો હોવાથી આ ગામોને શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગામોના લોકો અને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોના હિતમાં નિર્ણય લઈ નવીન ગોધર તાલુકામાં જોડેલા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોનો ફરીથી શહેરા તાલુકામાં સમાવેશ કરતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેથી તમામ 10 ગામોના લોકોમાં ખુશીની લાગણી છવાઇ હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:44 am

દાહોદમાં રવિવારે કાતિલ ઠંડીનો પ્રકોપ:પારો 12 ડિગ્રીએ જનજીવન ઠુંઠવાયું

દાહોદમાં રવિવારની પરોઢે તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચતા સમગ્ર પંથક કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયો હતો. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટાડો થયો હતો. દિવસભર ક્યારેક તાપ તો ક્યારેક વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોએ ઠંડીની તીવ્રતા વધારી હતી. ઉત્તર દિશામાંથી ફૂંકાતા સૂસવાટા મારતા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. શહેર સહિત જિલ્લામાંઆગામી દિવસોમાં હજુ પણ પારો ગગડવાની સંભાવના વર્તાઈ રહી છે. દાહોદ શહેરમાં રવિવારની પરોઢે શિયાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. પરોઢના 7.30 વાગ્યાના અરસામાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રી સેલ્સિયસને અડકી જતાં સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. પરોઢના સમયે ગાઢ ધુમ્મસિયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટીને માત્ર 5 કિમી રહી ગઈ હતી. જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિવસ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં સૂર્યપ્રકાશ અને વાદળો વચ્ચે સંતાકૂકડી ચાલતી રહી હતી. આકાશમાં 51% વાદળો છવાયેલા રહેતા દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ, ઉત્તર દિશામાંથી પ્રતિ કલાક 11 કિમીની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ ઠંડીની તીવ્રતામાં વધારો કર્યો હતો. પવનના સૂસવાટાની ગતિ ક્યારેક 19 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. દિવસ વધતો ગયો તેમ તેમ તાપમાનના પારામાં પણ વધારો થયો હતો. દિવસે હાઇએસ્ટ તાપમાન 27 ડિગ્રી નોંધાયુ હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 35% અને ઝાકળ બિંદુ 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દાહોદ શહેર સહિત જિલ્લામાં આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા સેવાઇ રહી છે. આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધવાની શક્યા સેવાઇ રહી છેહવામાં 1020 mb જેટલું ઊંચું વાયુનું દબાણ અને ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની ગતિ જોતા આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 થી 11 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઝાકળ બિંદુ 11 ડિગ્રી હોવાથી પરોઢના સમયે હાઈવે પર વિઝિબિલિટીમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. વાહનચાલકોએ વહેલી સવારે સાવચેત રહેવું પડશે. ઠંડીના અચાનક વધારાને કારણે રવિ પાક ખાસ કરીને ઘઉં અને ચણાના પાક માટે આ વાતાવરણ ફાયદાકારક ગણાય છે પરંતુ જો ઝાકળનું પ્રમાણ વધશે તો જીરા જેવા પાકમાં રોગચાળાની ભીતિ રહી શકે છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને સવારે કડકડતી ઠંડીને કારણે બાળકો અને વૃદ્ધોમાં શરદી-ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:43 am

મંડે પોઝિટીવ:કુબેરનગરમાં એકસમયે ઓપન જેલ હતી ત્યાં હવે ઓપન સ્કૂલ, ધોરણ 1થી 7માં અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને ભણાવાય છે

કુબેરનગર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં એક જમાનામાં જ્યાં વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે ઓપન જેલ હતી, તેની પાસે જ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વિમુક્તા ટ્રસ્ટને શૈક્ષણિક કાર્ય માટે 3 રૂમનું વિમુક્તા રિફોર્મ સેન્ટર ફાળવાયું છે તેમાં ધો. 1થી 7ના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માટે ઓપન સ્કૂલ શરૂ કરાઈ છે. અહીં અભ્યાસ ઉપરાંત થિયેટર, આર્ટ તથા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરાવાય છે. તેમાં સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષા, થિયેટર, આર્ટ એન્ડ કલ્ચરલ, રાજકારણ, બાળવાર્તા સહિતની 7 હજાર પુસ્તકો સાથેનું એક પુસ્કાલય પણ છે. નજરકેદ કરવા ઓપન જેલ બનાવી હતીઆઝાદી પહેલાં ક્રિમિનલ ટ્રાઇબ્સ હેઠળ વિચરતી વિમુક્ત જાતિના લોકોને નજરકેદ કરવા કુબેરનગરની ઓપન જેલમાં રાખ્યા હતા. આઝાદીના પાંચ વર્ષ બાદ વર્ષ 1952માં તેમને આઝાદી મળી ત્યાર બાદ તેઓ ઓપન જેલની જગ્યામાં સુથારી કામ કરતા. હવે અહીં અમે બાળકોના ભાવિને ઘડીશું. > આતિશ ઈન્દ્રેકર, ટ્રસ્ટી, વિમુક્તા 20 યુવકની ટીમ સંચાલન કરી રહી છે20 યુવકની ટીમ વિમુ્ક્તા રિફોર્મ સેન્ટરનું સંચાલન કરી રહી છે. પાંચ યુવક થિયેટર, પાંચ યુવક કાયદાકીય માર્ગદર્શન, 5 યુવક મહિલા અને બાળકો માટે તથા પાંચ યુવક અગત્યના દસ્તાવેજોના વિષયમાં કામ કરશે. જ્યારે 3 શિક્ષકની નિમણૂક કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:42 am

મંડે પોઝિટીવ:દાહોદમાં પ્રવાસન ક્ષેત્રે છાબ મહોત્સવ, એડવેન્ચર સ્પોર્ટ્સનો પ્રારંભ કરાશે‎

દાહોદ જિલ્લાની કુદરતી અને ઐતિહાસિક સંપદાને વિશ્વસ્તરે ઓળખ અપાવી પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવાના હેતુથી ધાનપુર તાલુકાના રતનમહાલ ઇન્સ્પેક્શન બંગલો ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની એક મહત્વની બેઠક યોજવામાં આવીઈ હતી. દાહોદના પરંપરાગત વારસા અને લોકકલાને પ્રોત્સાહન આપવા માટે છાબતળાવ ખાતે ‘છાબ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ દાહોદ જિલ્લાના વિવિધ ડુંગરો પર ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ, ઝીપ લાઈન, પેરા ગ્લાઈડિંગ અને હોટ એર બલૂન જેવી એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ શરૂ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રતનમહાલ અભયારણ્યમાં વન વિભાગ દ્વારા જંગલ સફારી માટે નવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. સ્થાનિક યુવાનોને ‘ટૂરિસ્ટ ગાઈડ' તરીકે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ પ્રવાસીઓને સ્થળના ઐતિહાસિક અને પર્યાવરણીય મહત્વ વિશે સચોટ માહિતી આપી શકે. આ તકે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો પ્રવાસીઓ માટે રહેવા-જમવા, સુરક્ષા અને પરિવહનની ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવે તો સ્થાનિક પ્રજાને ઘરઆંગણે રોજગારી મળશે. જિલ્લામાંથી થતું સ્થળાંતર ઘટાડી શકાશે. આ તમામ સ્થળો પર પ્રવાસીઓ માટે પાયાની સુવિધાઓ, શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે ઈકો-ટુરિઝમ પ્રોજેક્ટ્સને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઇ ધરીયા તેમજ પ્રાંત અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈકો - ટુરિઝમ માટે આ મુખ્ય સ્થળો પસંદ કરાશે જિલ્લામાં વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે રતનમહાલ વન્યજીવ અભયારણ્ય, ઉધલમહુડા કેમ્પસાઈટ અને નળધા કેમ્પસાઈટ ખાતે ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું નક્કી કરાયુ છે. આ સાથે ધાર્મિક અને ઐતિહાસિક વારસાને જાળવવા માટે બાવકાના સુપ્રસિદ્ધ શિવમંદિર , કેદારેશ્વર મહાદેવ મંદિર અને વહેવારિયો ડુંગરનો કાયાકલ્પ કરવાની નેમ રખાઇ છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પર્યાવરણના જતન સાથે સાગટાળા વન વિસ્તાર અને દાહોદ શહેરની શાન સમા ઐતિહાસિક છાબ તળાવના વિકાસની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:42 am

સેવાયજ્ઞ:શહીદ જવાનના પરિવારના આંસુ લૂછવા‎ સેવાયજ્ઞ, 1 કરોડનો સહાય ચેક અર્પણ‎

માતૃભૂમિની સેવા કાજે ફરજ બજાવતા જવાન જ્યારે વિદાય લે છે ત્યારે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. આવા જ એક કર્મનિષ્ઠ SRP જવાન સ્વ. સુરેશભાઈ હઠીલાના પરિવારની વહારે રાજ્ય પોલીસ વિભાગ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવી છે. મીરાખેડી સ્થિત એસઆરપી કેમ્પ પાવડી ખાતે યોજાયેલા એક ભાવભીના કાર્યક્રમમાં શહીદ જવાનના પરિવારને રૂા.1 કરોડનો ઇન્સ્યોરન્સ સહાય ચેક અર્પણ કર્યો હતો. ગયા વર્ષે 16 સપ્ટેમ્બર 2024ના રોજ લીમખેડા ખાતે બનેલી એક કમનસીબ માર્ગ અકસ્માતની ઘટનામાં ફરજ પર તૈનાત SRP જવાન સુરેશભાઈ હઠીલાનું દુઃખદ અવસાન થયું હતું. જોકે, સ્વ. સુરેશભાઈ એસબીઆઈ બેંકની સ્પેશિયલ સેલેરી પેકેજ સ્કીમ હેઠળ આવરી લેવાયેલા હોવાથી, તે અંતર્ગત મળતા ઇન્સ્યોરન્સ કવરેજની પ્રક્રિયા તાકીદે પૂર્ણ કરવામાં આવી હતી. કેમ્પ ખાતે ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસબીઆઈના પ્રતિનિધિઓએ સ્વ.સુરેશભાઈના પત્ની અને પરિવારજનોને મળીને આર્થિક સહાયનો ચેક સોંપ્યો હતો. આ તકે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જવાનની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી, પરંતુ આ રકમ તેમના બાળકોના ભવિષ્ય અને પરિવારની આર્થિક સ્થિરતા માટે વરદાનરૂપ સાબિત થશે. સહાય ચેક સ્વીકારતી વખતે પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી. તેઓએ પોલીસ વિભાગ અને બેંકનો આભાર માન્યો હતો. યોજના હેઠળ પરિવારને આર્થિક સુરક્ષા પુરી પડાય છેસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પોલીસ વિભાગ વચ્ચેના કરાર થયેલો છે. જે જવાનોના પગાર ખાતા એસબીઆઈમાં હોય છે તેમને પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સનું કવર મળે છે. ફરજ દરમિયાન અકસ્માતમાં અવસાનના કિસ્સામાં આ યોજના હેઠળ પરિવારને આર્થિક સુરક્ષા પુરી પાડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:40 am

વારસાની જાળવણી:આ તમારું કામ નહીં, આવા મહેણાં છતાં સાધ્વીજીએ પોળનાં 121 જિનાલયનો પ્રાચીન વારસો સાચવવા ‘આવાસ યોજના’ શરૂ કરી

સામા પ્રવાહે કોઈ તરે ત્યારે અનેક અડચણો, અંતરાયો, મુશ્કેલીઓ આવે. અમદાવાદનાં પ.પૂ.આ.દે.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની સાધ્વી શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. શહેરની પોળોના અઢી કિલોમીટર વિસ્તારમાં 500 વર્ષ અને તેથી પણ વધુ પ્રાચીન 121 જિનાલય છે પરંતુ ઘણાં વર્ષોથી મોટા ભાગે જૈનોનું સ્થળાંતર થયું છે એટલે આ ભવ્ય વારસા સ્વરૂપ જિનાલયોનું કાયમી રક્ષણ અને જાળવણી થઈ શકે એ માટે એમણે ‘જિનાજ્ઞા આવાસ યોજના’ શરૂ કરી છે પરંતુ એ માટે કેટલી વિપત પડી છે, એ અંગે તેમના જ શબ્દોમાં વાંચીએ... પોળોમાં વધુ જૈન પરિવારો વસે તો જિનાલયો સચવાય એ માટે બીડું ઝડપ્યું‘આ યોજના જ ધડમાથા વિનાની છે’, ‘પોળમાં કોણ રહેવા આવશે?’, ‘સાધ્વીજીઓએ તો માત્ર ભક્તિ જ કરવાની હોય...’ જિનાલયોની જાળવણી માટે જૈન પરિવારોને પોળમાં વસાવવાનો વિચાર રજૂ કર્યો ત્યારે સૌની આવી પ્રતિક્રિયા હતી. હું ડિસેમ્બર, 2012માં ઝવેરીવાડની ચૌમુખજીની પોળમાં આવી. એ પહેલાં મેં ક્યારેય પોળ જોઈ સુધ્ધાં નહોતી. અહીં ભગવાનની 500 વર્ષ અને તેથી પણ પ્રાચીન પ્રતિમા, જિનશાસનનો ભવ્યાતિભવ્ય વારસો રેઢો પડ્યો છે. જૈન પરિવારો અહીં રહેતા ત્યારે દેરાસરોમાં પૂજા-સ્તવન થતાં પણ કાળક્રમે લોકો વિકસતા જતા શહેરમાં રહેવાનું શરૂ કર્યું અને જિનાલયો સૂનાં થવા લાગ્યાં. આ સમસ્યાનો કાયમી ઉકેલ મારે લાવવો હતો. અનેક વિચારો પછી એક ઉપાય સૂઝ્યો. જૈનોને પોળમાં પુન: વસાવાય તો જ આ શક્ય બને. આ માટે પોળ છોડીને ગયેલા ઘણા પરિવારોનાં ખાલી પડેલાં મકાન ખરીદી, સમારકામ કે પાયેથી પડાવીને નવાં સુવિધાવાળાં મકાન બનાવવાનો નિર્ણય કર્યો. 2018માં દોશીવાડાની પોળમાં સિમંધર સ્વામીની ખડકીમાં 3 બંધ મકાન અમે ખરીદ્યાં અને સમારકામ કરાવીને સાધર્મિકોને ભાડે આપ્યાં. અત્યાર સુધીમાં 4 પાયેથી પડાવીને નવાં બનાવેલાં અને 6નું સમારકામ કરાવીને 10 મકાન ભાડે આપ્યાં છે. - સાધ્વી શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:38 am

ભાસ્કર વિશેષ:આંજણા ચૌધરી સમાજ 25 હજાર સ્ક્વેર ફૂટમાં 3 લાઈબ્રેરીનું નિર્માણ કરશે, 11 જાન્યુઆરીએ ભૂમિપૂજન અને 2028 સુધીમાં તૈયાર થશે હાઈટેક કેમ્પસ

કોઈ પણ સમાજની પ્રગતિનો માપદંડ તેની ઇમારતો નહીં, પરંતુ શિક્ષણ પ્રત્યેની તેની વિચારધારા હોય છે. આંજણા ચૌધરી સમાજ આજે ગુજરાતમાં આધુનિકતાનું એક એવું ઉદાહરણ રજૂ કરવા જઈ રહ્યો છે જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. અડાલજમાં રૂ. 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સમાજનું આ નવું ભવન માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ ભવિષ્યની પેઢી માટે ‘જ્ઞાનનું મંદિર’ સાબિત થશે. આ કેમ્પસનું 11 જાન્યુઆરીએ ભૂમિપૂજન અને 2028 સુધીમાં તૈયાર થશે હાઈટેક કેમ્પસ ઓક્સફોર્ડની તર્જ પર લાઈબ્રેરી: આ પ્રોજેક્ટની સૌથી અનોખી બાબત એ છે કે સમાજના 4 સભ્યોએ 1 વર્ષ પેહલા ઇંગ્લેન્ડ જઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની લાઈબ્રેરીનો અભ્યાસ કર્યો છે. તેઓ ત્યાંની કાર્યપ્રણાલી, આર્કિટેક્ચરને સમજીને આવ્યા. જેથી અડાલજમાં વિશ્વસ્તરીય 3 લાઈબ્રેરી બનાવી શકાય. 25,000 વર્ગફૂટમાં ફેલાયેલી આ લાઈબ્રેરીમાં એક સાથે 800થી વધુ વિદ્યાર્થીઓ બેસીને પોતાનું ભવિષ્ય ઘડી શકશે. રાજ્યમાં 1 લાખથી વધુ આંજણા ચોધરી સમાજના લોકો વસવાટ કરે છેપ્રમુખ એમ કે ચૌધરી, મણિભાઈ ચૌધરી અને નાનજી ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આંજણા ચોધરી સમાજના 1 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ચોધરી સમાજના લોકો વધુ વસવાટ કરે છે. ગામડામાં રહેતા વિધ્યાર્થીઓ માટે આ ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્માર્ટ મોનિટરિંગ: સીસીટીવીથી લઈને ક્લાસરૂમ સુધી બધું જ AI આધારિત હશે ડિજિટલ હબ: સુરક્ષા, પ્રવેશ નિયંત્રણ અને અભ્યાસની વ્યવસ્થા સ્માર્ટ સિસ્ટમથી થશે. સ્કિલ ડેવલપમેન્ટ: રહેવાની સુવિધાની સાથે એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ કાર્યરત થશે. ભવિષ્યની જરૂરિયાત: આખું કેમ્પસ એઆઈ ટેકનોલોજીથી સુસજ્જ હશેબદલાતા સમયને પારખીને સમાજે ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે. ‘ભવિષ્ય એઆઈનું જ છે’, આ વિઝન સાથે સમગ્ર ભવનને એ આઈ ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. ભવનની ભવ્યતા એક નજરે

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:34 am

પરીક્ષા:ભરૂચમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા 1244 ઉમેદવારોએ આપી

ભરૂચ જિલ્લામાં રવિવારે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પરીક્ષા યોજાઈ હતી. ભરૂચમાં 7 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા સુધી એટલે કે 2 કલાકની પરીક્ષા લેવામાં આવી હતી. સાત કેન્દ્ર પર પરીક્ષા માટે 1583 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. તેમાંથી પરીક્ષા દરમિયાન 1244 ઉમેદવારો હાજર રહ્યા હતા તો 339 કોઈ કારણ સર ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ થઈ હોય તેવું સામે આવ્યું નથી. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય હતી. 78.58 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉલેખનીય છે કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પરીક્ષા કેન્દ્ર્નો 200 મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર નહીં વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:27 am

પોલીસના દરોડા દરમિયાન મેનેજરની ધરપકડ:અંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો વેપલો, 6 યુવતીને મુક્ત કરાવાય

ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારની બદી ફૂલીફાલી રહી છે. અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી પોલીસે 6 યુવતીઓને મુકત કરાવી છે. સ્થળ પરથી મેનેજરની અટકાયત કરવામાં આવી છે જયારે મહિલા સંચાલકને વોન્ટેડ જાહેર કરાઇ છે. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રોઝ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરવામાં આવતો હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાના પીઆઇ ભાવના મહેરીયાને મળી હતી. જેથી તેમણે ડમી ગ્રાહકને તૈયાર કરીને રોઝ સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે ઇશારો કરતાની સાથે પોલીસની ટીમે દરોડો પાડયો હતો. સ્પામાંથી મેનેજર અને 6 યુવતીઓ મળી આવી હતી. છ યુવતીઓને નોટીસ આપીને મુક્ત કરાવવામાં આવી હતી. જ્યારે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુ વકતારામની પોલીસે અટકાયત કરી હતી,અને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 11 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,આ ઉપરાંત પોલીસે રોઝ સ્પાની મહિલા સંચાલિકા અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરી હતી.તેમજ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:26 am

દેડિયાપાડાના નિવાલ્દા ગામ નજીક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો‎:દ્રીચક્રી વાહનચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવા નિર્દેશ,અકસ્માતો રોકવાનો પ્રયાસ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નીવાલ્દા ગામ ખાતે આવેલ પેટ્રોલપંપ પર માર્ગ સલામતીને લગતી જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ કાર્યક્રમ અંતર્ગત પેટ્રોલ પંપ પર આવનારા વાહનચાલકોને માર્ગ સલામતી અંગે માહિતીપૂર્ણ પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા, ટ્રાફિક નિયમોનુંપાલન, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો ગતિમર્યાદા જાળવવી તથા દારૂ પીનેવાહન ન ચલાવવાની બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે દરેક નાગરિકની જવાબદારી અંગે પણ સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત, જે દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરીને આવ્યા હતા તેમનું ફૂલહાર તથા પ્રોત્સાહકશબ્દો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેથી અન્ય લોકો પણ હેલ્મેટ પહેરવા માટે પ્રેરિત થાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:26 am

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની મોનીટરીંગ કમિટીની બેઠક મળી‎:ભરૂચના ખનીજ પ્રભાવિત વિસ્તારમાં‎વિકાસ માટે 10.59 કરોડની ફાળવણી‎

ભરૂચ જિલ્લામાં ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો તથા માળખાકીય સુવિધાઓ વધારવા માટે 10.59 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરગૌરાંગ મકવાણાના અધ્યસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. વર્ષ 2023-24 તથા 2025-26ના નવા કામોના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.વિકાસ માટેની કટિબદ્ધતાના ભાગરૂપે આયોજનમાં આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં મંજૂર કરવામાં આવેલા અને હાલ પ્રગતિ હેઠળ રહેલા કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચ જીલ્લાના ખનીજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારીનાં કામો અર્થે કુલ રકમ રૂ.10.59 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં શિક્ષણ માટે 39 કામના 498 લાખ, પાણીની સુવિધાના 5 કામ પેટે 65 લાખ, સ્વચ્છતાના 10 કામ પેટે 86 લાખ, પર્યાવરણ જાળવણી તથા પ્રદૂષણ નિવારણના 6 કામ પેટે 220 લાખ, પશુપાલન ક્ષેત્રે 2 કામ પેટે 16 લાખ અને ભૌતિક સુવિધા ક્ષેત્રે 17 કામ પેટે 174 લાખનો કામો મંજુર કરવામાં આવ્યા છે. જેના થકી ખનન પ્રવૃત્તિથી પ્રભાવિત વિસ્તારના લોકોને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં લાભ મળશે. કલેકટરે વિકાસને વેગ આપવા અને ભંડોળનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તાસભર કામ કરવા પર ભાર મૂક્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં રેતી,માટી સહિતની અન્ય ખનીજોનું મોટાપાયે ખનન કરવામાં આવેછે ખનીજોનું વહન કરતા ભારદારી વાહનોના કારણે મુખ્ય તથા ગામડાના આંતરિક રસ્તાઓને નુકશાન પહોંચે છે.ચોમાસામાં ગ્રામજનોની હાલત ખરાબ બની જતી હોય છે.હાલમાં ફાળવવામાં આવેલા ફંડમાંથી મજબૂત રસ્તાઓ બનાવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે. ડીએમએફ ફંડ શું હોય છે‎લીઝ વિસ્તારમાંથી ઉત્પાદન થતા ખનિજ જથ્થાના પ્રતિ મે.ટન રોયલ્ટીના 30% તેમજ 10% લેખે રકમ અલગથી ડીએમએફ ફંડમાં જમા થાય છે. જે ફંડનો ઉપયોગ પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, વૃદ્ધ અને વિકલાંગ કલ્યાણ ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ જાણવણી તથા પ્રદુષણ નિવારણ, હાઉસિંગ, ખેતીવાડી, પશુપાલન ભૌતિક માળખાકીય સુવિધા, સિંચાઈ સુવિધા, ઉર્જા તથા વોટરશેડ વિકાસ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા અન્ય પગલા ક્ષેત્રે ફંડની ફાળવણી કરવા જોગવાઈ કરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:24 am

રોડ, વીજળી, પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધા વધારાશે‎:ભરૂચ જિલ્લાની 6 જીઆઇડીસીના ગામો માટે 32.45 કરોડ મંજૂર કરાયાં

ભરૂચ જિલ્લાની 6 જીઆઇડીસીના ગામો માટે 32.45 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી જીઆઇડીસીની સર્વગ્રાહી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં કુલ 32.45 કરોડના ખર્ચે નિર્દિષ્ટ વિસ્તારોના ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓનો વધારવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ તરફથી ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભંડોળનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં જરૂરી માળખાગત સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતોને મજબૂત કરવા માટે થશે. ઔદ્યોગિક એકમો પાસેથી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા દર વર્ષે સંકલિત વેરો ઉઘરાવવામાં આવે છે, જેના ૧/૩ ભાગ એટલે કે (૩૩%)નો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોમાં સમાવેશ થતાં ગામોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:22 am

લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે:અંકલેશ્વરના 15થી વધારે ગામોના લોકોને ‎ટૂંક સમયમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે‎

અંકલેશ્વર તાલુકાના 15 ગામના લોકોને ટુંક સમયમાં પીવાનું શુદ્ધ પાણી મળતું થઇ જશે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્વાકાંક્ષી પીવાના પાણીની યોજના હવે અંતિમ તબક્કા તરફ ઝડપથી આગળ વધી રહી છે. જીઆઈડીસી તરફથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી જમીન ફાળવાતા સમગ્ર પ્રોજેક્ટને હવે નવી ગતિ મળી છે. અડોલ, જુના દીવા, સુરવાડી, પીરામણ, પાનોલી, સંજાલી, નવા દીવા, જૂની દીવી, નવા દીવી, ઉમરવાડા, જુના બોરભાઠા, નવા બોરભાઠા, જુના બોરભાઠા બેટ, નવા બોરભાઠા બેટ, જુના સરફુદ્દીન અને નવા સરફુદ્દીન સહિત 15થી વધુ ગામોના સેંકડો પરિવારોને આવરી લેતી આ યોજનાથી ગ્રામજનોને સીધો લાભ મળશે. રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજુઆતના પગલે જીઆઈડીસી તરફથી 19,000 ચોરસ મીટર જગ્યા ફાળવાતા 1.30 કરોડ લીટર પાણીની ક્ષમતાવાળો આધુનિક સુવિધાઓથી સજ્જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવી રહ્યો છે. કુલ રૂ.45.24 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં 62 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અને બાકીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આગામી 1.5 વર્ષમાં આ યોજના પૂર્ણ થતાં વિસ્તારના લોકોને વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાથી સંપૂર્ણ રાહત મળશે.અંકલેશ્વર શહેર તથા જીઆઇડીસી વિસ્તાર હાલ પીવાના પાણી માટે ઉકાઈ જમણા કાંઠાની નહેર પર નિર્ભર છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:20 am

માથાભારે ઇસમે આપી ધમકી:મારા ભાઈ વિરૂદ્ધ કોર્ટમાં જુબાની આપી તો જાનથી મારી નાંખીશ

તારાપુરના જલ્લામાં ભાઈ વિરૂદ્ધ કોર્ટમાં જુબાની આપવા બાબતને લઈને ફળીયામાં રહેતા શખસ દ્વારા મારક હથિયાર સાથે પહોંચી જઈ મારામારી કરતા સમગ્ર મામલો તારાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુરના જલ્લામાં નબીમીંયા ગુલભઈમીંયા મલેક રહે છે. તેમણે તારાપુર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય સમયથી તેમને ફળીયામાં રહેતા ઓવેશમીંયા ઉર્ફે ટકો અનવરમીંયા મલેક સાથે ઝઘડો થયો હોઈ તે ઝઘડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે,આ બાબતની અદાવત રાખી શનિવારે સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ શખસ ધારીયા સાથે ગમે તેમ અપશબ્દ બોલતો તેમના ઘરે આવી પહોંચ્યો હતો. જેને પગલે નબીમીંયા મલેકે તેમને ઘરમાં છોકરો અને તેની વહુ હોઈ ગમે તેમ અપશબ્દ ન બોલવા માટે ઠપકો આપ્યો હતો. છતાં પણ ઓવેશમીંયાએ ઉશ્કેરાઈને તારો દીકરો મારા ભાઈ વિરૂદ્ધમાં કોર્ટમાં જુબાની આપશે તો તને અને તારા દીકરાને જાનથી મારી નાંખીશ તેમ કહી નબીંમીંયા મલકેને મોંઢાના ભાગે ઝાપટ મારી દીધી હતી. વધુમાં હાથમાં રહેલા ધારીયાનો ઘા કર્યો હતો. પરંતુ તેમણે જાળી બંધ કરી દેતાં જ બચી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો આવી જતાં શખસ ત્યાંથી નીકળી ગયો હતો. આ મામલે તારાપુર પોલીસે શખસ સામે ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:19 am

દબાણ કરાયા દૂર:તારાપુર તાલુકાના કનેવાલ તળાવ પર દબાણો દૂર કરીને જમીન ખૂલ્લી કરાઇ

તારાપુર તાલુકાના વલ્લી ગામે કનેવાલ તળાવના ટાપુ પર કેટલાંક પરિવારો વર્ષોથી ગેરકાયદે રહેતા હતા. જેના કારણે અનેક સમસ્યા સર્જાય છે. કેટલાંક લોકોના વલ્લી ગામમાં રહેઠાણ હોવા છતાં ટાપુ મકાન બનાવી ગેરકાયદે રહેતા હતા. જો કે કેટલાંક પરિવાર પાસે ગામમાં ઘર કે જમીન ન હોવાથી જીવના જોખમે ટાપુ રહેતા હતા. હાલમાં કનેવાલ તળાવનું બ્યુટીફિકેશન કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે ની કામગીરી ચાલી રહી છે. જેથી સિંચાઇ વિભાગ દ્વારા ટાપુના તમામ દબાણો દૂર કરીને સરકારી પડતર જમીન ખાલી કરવામાં આવી હતી. સિંચાઇ વિભાગે ગ્રામ પંચાયત હોદેદારો સાથે ચર્ચા કરી હતી. જેથી ગ્રામ પંચાયતે ગામમાં કોઇ પાસે રહેઠાણના હોય તેવા પરિવારોને પ્લોટ ફાળવવામાં આવસે. તારાપુર તાલુકાના વલ્લી ગામે કનેવાલ તળાવના ટાપુ પરથી દબાણો હટાવ્યા બાદ ગ્રામ પંચાયતે મહત્વનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ, દબાણગ્રસ્ત પરિવારોને રહેઠાણ માટે પ્લોટ ફાળવવામાં આવશે. વલ્લી ગ્રામ પંચાયતે આવા અસરગ્રસ્તોને 50 ચોરસ મીટરના રહેઠાણના પ્લોટ ફાળવવા સર્વાનુમતે સહમતી દર્શાવી છે. રેલ ગામે સરકારી જમીન ન હોવાથી વલ્લીમાં પ્લોટ ફળવાશે કનેવાલમાં બે ટાપુ છે. એક ટાપુ વલ્લી અને બીજો રેલ ગામ હદમાં છે. રેલ ગ્રામ પંચાયત પાસે પોતાના પ્લોટ નથી. જેથી વલ્લી ગામમાં તારાપુર તાલુકાના સર્વે નંબર 585/પૈકી, ક્ષેત્રફળ 7-20-52 પૈકીની સરકારી પડતર જમીનમાંથી ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયત વલ્લીએ આ પ્લોટ ફાળવણી સામે કોઈ વાંધો ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.ઉલ્લેખનીય છે કે રેલ અને વલ્લી ગામની સીમ એક જ છે. રેલ ગામમાં સરકારી પડતર જમીન ઉપલબ્ધ ન હોવાથી, વલ્લીની આ જમીનમાંથી પ્લોટ આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:18 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:રાસનોલ પાસે કારમાં 2.64 લાખની દારૂની હેરાફેરી ઝડપાઈ

આણંદ પાસેના રાસનોલ ગામેથી ખંભોળજ પોલીસે કારમાં દારૂની હેરાફેરીને સફળતાપૂર્વક ઝડપી પાડી હતી. જોકે, શખસ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ સહિત કુલ 3.64 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ખંભોળજ પોલીસની ટીમ રાસનોલ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન, એ સમયે પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બળવંતસિંહને રાસનોલના ઘોડીવાળું ચાર રસ્તા પાસે શૈલેષ મનુ પરમાર પોતાની કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા જ પોલીસે તેના આધારે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. જોકે, અંધારાનો લાભ લઈ શખસ ફરાર થઈ ગયો હતો. પોલીસે શખસની કારમાંથી અલગ-અલગ કિંમતના 2640 નંગ ક્વાર્ટર મળી કુલ રૂપિયા 2.64 લાખનો દારૂ તેમજ એક લાખની કાર મળી કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:16 am

કાયમી ધોરણે ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવા માંગ‎:આણંદ બાકરોલ ટી પોઇન્ટ પાસે ટ્રાફિક પોઇન્ટના અભાવે રોજ સાંજે ચાર કલાક સુધી ટ્રાફિક જામ

કરમસદ આણંદ શહેરના બાકરોલ ટી પોઇન્ટ માર્ગ પર ટ્રાફિક પોઇન્ટના અભાવે સવાર સાંજ એક સાથે 500થી વધુ વાહનો ભેગા થઇ જતાં ચાર કલાક સુધી ટ્રાફિક જામ રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. તો વળી કયારેક તો વાહનચાલકો વચ્ચે બોલાચાલીના બનવો બંને છે. તો વળી વાહનચાલકો વારંવાર હોન વગાળતાં હોવાથી આજુબાજુ વેપારીઓ સહિત રહીશો હેરાન થઇ રહ્યાં છે. જેને ધ્યાને લઇને તાત્કાલિક બાકરોલ ટી પોઇન્ટ પર ટ્રાફિક પોઇન્ટ બનાવીને કાયમી ધોરણે ટ્રાફિકના સંચાલન માટે ટ્રાફિક પોલીસ ફાળવવાની માંગ ઉઠવા પામી છે. કરસમદ આણંદ શહેરના લાંભવેલ દાંડી માર્ગ પાસે બાકરોલ ટી પોઇન્ટ પડે છે. ટી પોઇન્ટ પર પાંચ તરફ જવાના માર્ગો આવેલા છે. હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. તેમજ વડતાલ સહિત લાંભવેલ હનુમાનજી મંદિર મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ વાહન લઇને અવરજવર કરતાં હોય છે. તેમજ નડિયાદ તરફથી આવતાં 2 હજારથી વધુ વાહનો રાજપત માર્ગ કે બાકરોલ તરફ જાય છે. હાલમાં બાકરોલ ટી પોઇન્ટ લાંભેવલ તરફનું માર્ગ અને રાજપથ એક બાજુના માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સવાર સાંજ એક સાથે 500થી વધુ વાહનો ચોકડી પર ભેગા થઇ જતાં ટ્રાફિક જામ થઇ જાય છે. વાહનચાલકો ચાર ચાર કલાક સુધી ટ્રાફિકમાંથી બહાર નીકળી શકતા નથી. જેને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. રવિવાર સાંજે પણ ટ્રાફિક જામ થઇ જતાં ટ્રાફિક પોલીસના અભાવે કેટલાંક સેવાભાવિ યુવકો ટ્રાફિક હળવો કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. તેને ધ્યાને લઇને તાત્કાલિક ટ્રાફિક પોઇન્ટ મુકવાની માંગ વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે. બાકરોલ ટી પોઇન્ટ પાસે આવેલી 50થી વધુ સોસાયટીઓ રહીશોને હાલાકીબાકરોલ ટી પોઇન્ટ આસપાસ મોટા મોટા કોમ્પ્લેક્ષોમાં ઓફિસો, દુકાનો અને 50થી વધુ સોસાયટીઓ આવેલી છે. પરંતુ પોઇન્ટ ટ્રાફિક જામ થઇ જતા સ્થાનિકો ભારે હાલાકી વેઠવી પડે છે. બાળકોને સ્કૂલેથી લઇને પરત ઘરે ફરતી વખતે ટ્રાફિક જામ હોવાથી એક કલાકનો સમય બગડે છે. તેમજ ટ્રાફિક ફસાયેલા વાહનાચાલકો સતત હોન મારતાં હોવાથી નજીક રહેતા વૃદ્વો અને બાળકો પણ હેરાન થાય છે. આગામી 5 વર્ષમાં આ વિસ્તારની વસ્તી 10 હજાર પાર જાય તેવી સંભાવના છે. જેને ધ્યાને લઇને આગામી 2 દાયકાના ટ્રાફિકને ધ્યાને લઇને માર્ગો પહોળો કરવા તેમજ ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવા અને ટ્રાફિક સિગ્નલ બેસાડવામાં આવે તો પ્રશ્ન હલ થાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:16 am

જિલ્લા પંચાયતની બે બેઠકો ઘટતાં હવે 40 બેઠકો પર જંગ:જિલ્લા પંચાયતની ગામડી અને નવાખલ બેઠક રદ, મોગરી બેઠક વલાસણમાં ફેરવાઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લા અને તાલુકા પંચાયતના અનામત બેઠકો ફાળવી સહિત નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લા પંચાયતની અગાઉ 42 બેઠકો હતી. પરંતુ આણંદ મનપા ફેરવાતાં ચાર ગામોનો મનપામાં સમાવેશ થતા એક બેઠક તેમજ તારાપુર પાલિકા જાહેર થતાં એક બેઠકનો ઘટાડો થયો છે. જો કે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય એ બન્યો છે. મોટાભાગની બેઠકો બદલાય જતાં નવેસરથી રાજકીય પાસા ગોઠવવાનો વખત આવ્યો છે.જિલ્લા પંચાયતની અગાઉ 42 બેઠકો હતી. જેમાં એક આણંદમાં ગામડી અને એક આંકલાવમાં નવાખલ બેઠક ઘટતાં હવે 40 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે 2011ની વસ્તી પ્રમાણે જિલ્લા પંચાયતની વિસ્તારમાં 1449064 લાખ પ્રમાણે બેઠક રચના કરવામાં આવી છે. સરેરાશ વસ્તી 36227 પ્રમાણે બેઠક નક્કી કરાઇ છે. 20 ટકાની વધઘટ સાથે મહત્વ વસ્તી 43472 અને લઘુતમ વસ્તી 28982 બેઠક જોવા મળશે. 2025માં આણંદ જિલ્લાની વસ્તી વધીને 21 લાખની આસપાસ હોવાનું અનુમાન છે.પંચે મતદાર મંડળમાં સમાવિષ્ટ ગામોની ભૌગોલિક પરિસ્થિતી કુદરતી બાધક પરિબળો, રેલવે,નદી,નાળા વગેરે પરિબળોને ધ્યાને લઇને સીમાંકન નક્કી કરાયા છે. આણંદ નગરપાલિકા મનપામાં ફેરવાતા, ગામડી, લાંભવેલ, મોગરી અને જીટોડિયા મનપા સમાવેશ થતાં ચાર ગામો જિલ્લા પંચાયતમાંથી નીકળી ગયા છે. જેમાં ગામડી બેઠક રદ કરી છે. જ્યારે મોગરી બેઠક વલાસણમાં ફેરવવામાં આવી છે.તારાપુર ગ્રામ પંચાયત પાલિકામાં ફેરવતા તારાપુરની બેઠક મોરજ માં ફેરવાઇ છે.આંકલાવ તાલુકાની નવાખલ બેઠક રદ કરવામાં આવી છે.અગાઉ આણંદ તાલુકાની 9 બેઠકો હતી તે ઘટીને 8 થઇ છે.જ્યારે આંકલાવ તાલુકાની ચાર બેઠકો હતી તે ઘટીને ત્રણ થઇ છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નવા સીમાંકન મુજબ બેઠકોનો તાગ મેળવવા રાજકીય પક્ષોની કવાયત પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત બેઠકો અમલવારીને પગલે 40માંથી 11 બેઠકો ઓબીસી અનામત ફાળે ગઇ છે.જ્યારે કેટલીક બેઠકોના પ્રકાર બદલાઇ જવાને કારણે નવા સમીકરણ રચાશે. હાલમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ નવા સીમાંકન અભ્યાસ શરૂ કરીને યોગ્ય માથાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે બે દિવસ અગાઉ કમલમ ખાતે તાલુકાના હોદેદારો અને આગેવાનો સાથે બેઠક કરીને કંઇ બેઠક ભાજપ પકડ નબળી છે.તેનો તાગ નવા સીમાંકન મુજબ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તેવી રીતે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:13 am

વેધર રિપોર્ટ:ચરોતરમાં આજથી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ આણંદ ખેડા જિલ્લામાં ઠંડીનો દોર શરૂ થયો છે.હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે,જેના કારણે મંગળવારથી લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટવાની સંભાવના છે. જેને કાંતિલ ઠંડીનો દોર શરૂ થશે. માવઠા પગલે ઠંડા પવનો ફુંકાતા હોવાથી મહત્તમ તાપમાન 4 ડિગ્રીનો ઘટાડા સાથે 25.5 ડિગ્રી નોંધાયું છે. આણંદ કૃષિ હવામાન વિભાગમાં રવિવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 25.5 અને લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું છે. પવનની ઝડપ પ્રતિકલાક 4 કિમીની નોંધાઇ છે.ઉતર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે 24 કલાક બાદ હિમ પવનોનું જોર વધવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:13 am

બિલ્ડરોની નારાજગી દૂર થઈ:નડિયાદ-આણંદ મનપા વિસ્તારમાં બિલ્ડરોને 40 ટકા કપાતમાં એપ્રિલ 2027 સુધી મુકિત

કરમસદ આણંદ અને નડિયાદ મનપા બનતાં ગત જુલાઇમાં રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપા નો ડી2 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતાં 40 ટકા કપાત નિયમ લાગુ થતાં બિલ્ડરોમાં નારાજગી વ્યાપી ગઇ હતી. બંને જિલ્લાના સ્થાનિક ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરતાં ગત માસે રાહત નિયમ લાગુ કર્યા બાદ પુનઃ શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપાનો ડી 2માં સમાવેશ આગામી 1 એપ્રિલ થી 2027થી લાગુ કરવામાં આવશે.ઉપરાત નોન ડીપી એરિયામાં બાંધકામ માં જમીન કપાતમાં રાહત આપવામાં આવતાં બિલ્ડરોએ રાહત અનુભવી છે. પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ અને નડિયાદ મનપા બનતાં ગત જુલાઇમાં રાજ્ય ના શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપા નો ડી 2 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતાં બિલ્ડરોમાં નારાજગી પ્રવર્તવા પામી હતી.આ મુદ્દે ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત કરતાં સરકાર દ્વારા ગત માસે ડી 2 સમાવેશમાં રાહત આપતા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ પુનઃ રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા વર્ષના પ્રારંભે બિલ્ડરો માટે આનંદદાયક બને તેવા નિર્ણયો જાહેર કરતાં મનપાનો આગામી 1 એપ્રિલ 2027થી ડી 2 કેટેગરીમાં સમાવેશ કરવા નિર્ણય લીધો છે. જેથી નોન ડીપી એરિયામાં બાંધકામ માં 10 થી15% જમીન કપાતના નિયમ જેતે સમયે લેવામાં આવેલ પરવાનગી તથા જમા ફી ના આધારે લાગુ કરવામાં આવતાં બિલ્ડરો તથા મકાન ખરીદનાર માટે રાહતરૂપ બનશે. હાલમાં દરખાસ્ત કરેલી નવી ટીપીમાં 40 કપાતની રાહતને લઇ અસમંજસકરમસદ આણંદ મનપા દ્વારા નવી ડીપી અને તેના આધારે નવી ટીપી ની દરખાસ્ત રાજ્ય સરકાર માં રજૂ કરવામાં આવી હોવાથી આગામી 30મી જુન સુધીમાં વિકાસ નકશા સરકારમાં રજૂ કરવાના મનપાને સૂચન બાદ નવી ડીપી અને તેના આધારે નવી ટીપી મંજૂર કરવામાં આવે તો જાહેર થયેલ નવી ડી2ના નિયમ લાગુ થશે ની અવઢવ ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:12 am

ભાસ્કર ઈનસાઈડ:થાનગઢના જોગ આશ્રમમાં ભોયરાની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

થાનગઢમાં આવેલા જોગ આશ્રમની અંદર અંડર ગ્રાઉન્ડ ગોડાઉનની અંદર પડેલ પ્લાસ્ટિકની ખુરશી, ગાદલા અને પ્લાસ્ટિકના પાઇપના શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગથી ભારે નુકસાની થયા હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે 100 થી પણ વધારે જોગ આશ્રમના સેવકો આવી ગયા હતા. અને તાત્કાલિક ધોરણે પાણી છાંટીને આગ બુઝાવવાનું કામ કર્યું હતું. આગને કાબુમાં લેવા માટે બે કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. આ સમયે જોગ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શાંતિલાલ પટેલે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. કોઈ વ્યક્તિની જાનહાની થઈ નથી. અંદર મોટાભાગનો પ્લાસ્ટિકનો સામાન ગાદલાને એવું હતું તેના કારણે આગ વધારે લાગી હતી. ચોટીલાથી ફાયર ફાઇટર બોલાવવું પડ્યું થાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર 400થી પણ વધારે સીરામીક ઉદ્યોગ આવેલા છે. પણ થાનગઢ નગર નગરપાલિકાની અંદર ફક્ત બે જ ફાયર ફાઈટર આવેલા છે જેમાંથી એક ફાયર ફાઈટર બંધ હાલતમાં છે. જ્યારે અન્ય એક ફાયર ફાઈટર પ્રેશરથી પાણી ન ફેકી શકતા અંતે ચોટીલાથી ફાયર ફાઇટર બોલાવવું પડ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:10 am

કલાર્ક અને પીએની બદલી:કલેક્ટર કચેરીમાં જમીન એનએ કૌભાંડ

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં જમીન એનએ કરાવવા માટે લાખો રૂપીયાની લાંચ લેવામાં આવતી હોવાનો પર્દાફાસ ઇડી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં નાયબ મામલત્તદાર મોરી જેલમાં છે અને જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર હાલ ઇડીના રીમાંડ ઉપર છે ત્યારે કલાર્ક અને કલેકટરના પીએની બદલીના ઓર્ડરો થતા ચકચાર ફેલાઇ છે. કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ જમીન એનએ કરવામાં લાંચ લેતા હોવાની વિગતો બહાર આવી છે. અને હાલ ઇડીએ તેમની ધરપકડ કરીને રીમાંડમાં પુછપરછ ચાલુ છે. ખાયકીનો આખો ચિઠ્ઠો બહાર આવશે આ કેસમાં વહિવટ કરનાર કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલાની મૂળી જયારે કલાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ કેસમાં અધિક કલેકટર આર.કે.ઓઝા અને તતકાલિન સિટી મામલત્તદાર મયુરભાઇ દવે સામે લટકતી તલવાર છે. ઇડી આ અધિકારીઓની ધરપકડ કરે તેવી શકયતાઓ છે. ત્યારે હવે કોનો વારો આવશે તે અંગે કલેકટર કચેરીમાં ચર્ચાઓ વહેતી થઇ છે. તેમાં ખાસ કરીને જે લોકોએ એનએ કેસમાં ખાયકી કરી છે તેમના જીવ તપાસને લઇને પડીકે બંધાઇ ગયા છે. જમીન એનએ કરાવનારના નિવેદનો મહત્વના રહેશે નાયબ મામલત્તદાર ચંદ્રસિંહ મોરી પાસેથી જમીન એનએ કરાવનાર લોકોની યાદી મળી છે. ઇડી દ્વારા તેમની પુછપરછ કરાય તેવી શકયતાઓ છે. આ જમીન માલિકોના નિવેદનોમાં કેવી રીતે પૈસા ઉઘરાણાની આખી ચેઇન ચાલતી હતી તેની વિગતો બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:08 am

ભાસ્કર ઈનસાઈડ:વિવાદ બાદ સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશનરની બોટાદ ખાતે બદલી

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા થતાની સાથે જ કમિશનર નવનાથ ગવ્હાણે,ડે. કમિશનર અર્જુન ચાવડા, એસ.કે. કટારાની નિમણુંક રવામાં આવી હતી. જેમાં એસ.કે.કટારા થોડા સમય પહેલા જ નિર્વુત થયા હતા. આમ કામગીરીનું ભારણ અર્જુન ચાવડા ઉપર વધી ગયુ હતુ. તેમની કામગીરીને લઇને વિવાદ સર્જાતા ડે.કમિશનરની સત્તા લઇને સિટી એન્જીન્યર કે.આર.ચૌહાણને ચાર્જ સોંપાયો હતો.જેને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. ત્યારે તાજેતરમાં ડે.કમિશનર અર્જુન ચાવડાની બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે તેમની જગ્યાએ વિવાદ બાદ ડે.કમિશનર લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા મહાનગર પાલિકાના ડે.કમિશનર અર્જુન ચાવડાને વિવાદીત કામગીરીને લઇને સાઇડ આઉટ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓ લાંબી રજા ઉપર ગયા હતા. હાજર થાય તે પહેલા તેમની બદલી કરી દેવામાં આવી છે. આમ તેમણે ગોઠવણ કરીને બદલીનો ઓર્ડર કરાવ્યો હોવાનું માનવામાં આવી રહયુ છે. બોટાદના પુરવઠા અધિકારી જી.એચ. મકવાણાને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ડે. કમિશનર તરીકે બદલી સાથે નિમણુંક અપાઈ છે.ત્યારે હજુ પણ એક ડેપ્યુટી કમિશનરની જગ્યા ખાલી છે. વિવાદ બાદ ડે.કમિશનર લાંબી‎રજા ઉપર ઉતરી ગયા હતા‎મહાનગર પાલિકાના ડે.કમિશનર અર્જુન‎ચાવડાને વિવાદીત કામગીરીને લઇને સાઇડ‎આઉટ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓ‎લાંબી રજા ઉપર ગયા હતા. હાજર થાય તે‎પહેલા તેમની બદલી કરી દેવામાં આવી છે.‎આમ તેમણે ગોઠવણ કરીને બદલીનો ઓર્ડર‎કરાવ્યો હોવાનું માનવામાં આવી રહયુ છે.‎

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:07 am

શિકારી પક્ષીઓનો સર્વે:ગુજરાતના 27 રાષ્ટ્રીય ઉઘાનોમાં વિદેશી શિયાળામાં આવતા શિકારી પક્ષીઓનો પ્રથમવાર સર્વે કરાશે

સુરેન્દ્રનગર જિલ્લાની સાથે રાજયમાં ડાંગ, જામનગર, ભાવનગર સહિત કુલ 23 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને 4 રાષ્ટ્રીય ઉધાનો આવેલા છે. આ કુલ 27 અભ્યારણોમાં શિયાળામાં ખાસ વિદેશથી શિકારી પક્ષીઓ આવતા હોય છે. તેનો સર્વે સૌપ્રથમવાર સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. તા.24 અને 25 જાન્યુઆરીએ 180 થી વધુ પક્ષી નિષ્ણાંતોની ટીમ સેન્ચ્યુરી વિસ્તાર ખુદીને સર્વેની કામગીરી કરીને શિકારી પક્ષી વિશે માહિતી મેળવશે. ગુજરાતએ વિદેશી પક્ષીઓ માટે દાયકાઓથી આકર્ષણનું કેન્દ્ર રહયુ છે. કચ્છનું રણ,ગીર નેશનલ પાર્ક, કાળીયાર રાષ્ટ્રીય ઉધાન, નળસરોવાર, વાસદા નેશનલ પાર્ક, જેસોર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, ખીજડીયા પક્ષી અભ્યારણ જેવા જુદા જુદા કુલ 27 સ્થળોએ ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં વિદેશી શિકારી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. પરંતુ આ પક્ષીઓ વિશે અત્યાર સુધી ખાસ વિશેષ માહિત નથી.તેના માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર બે દિવસ સર્વે કરવામાં આવશે. જેમાં ગુજરાતની બર્ડ કઝર્વેશન સોસાયટી અને વન વિભાગની સાથે રેપ્ટર નેટવર્ક ઇન્ડિયાના સહયોગથી થઇ રહેલી આ કામગીરીમાં જાણીતા શિકારી પક્ષી નિષ્ણાંત ડો.વિભુ પ્રકાશ તેમજ બર્ડ કર્ઝવેશન સોસાયટીના ગુજરાતના પ્રેસીડેન્ટ ડો.બકુલ ત્રિવેદીની આગેવાનીમાં 180 પક્ષી નિષ્ણાંતોની ટીમ સર્વેમાં જોડાશે. અલગ અલગ કુલ 27 અભ્યારણમાં ટીમ બે દિવસ સર્વે કરીને શિકારી પક્ષીઓની સંખ્યા,તેમની દિનચર્યા,તેમના સર્વધન ની સાથે કયારે આવે છે અને કયારે જાય છે. કેટલા દિવસ ગુજરાતમાં રોકાય છે તેમનો ખોરાક તથા કયારે પરત જાય છે તે તમામ બાબતની વિગતો મેળવશે. સર્વે બાદ વિદેશી શિકારી પક્ષીની સંખ્યા સહિતની વિગતો જાણવા મળશેગુજરાતમાં શિકારી પક્ષીઓ અંગે અત્યાર સુધી કોઈ વ્યાપક અને આધારભૂત વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ નહોતી. રશિયા, યુરોપ અને આફ્રિકા જેવા વિસ્તારોમાંથી અનેક શિકારી પક્ષીઓ શિયાળામાં ગુજરાત આવે છે, પરંતુ તેમની સંખ્યા, વિતરણ અને મહત્વપૂર્ણ રહેઠાણો વિશે ચોક્કસ માહિતીનો અભાવ હતો. આ સર્વે દ્વારા આ ખામી પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.અને તેમની સંખ્યાની પણ નોંધ કરાશે { દેવવ્રતસિંહ મોરી (પક્ષી વિદ્)

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:04 am

ભાસ્કર ઈનસાઈડ:ઉનાવા ખોડીયાર એસ્ટેટ ગોડાઉનમાંથી રૂ. 3.02 કરોડનું જીરું ચોરાયાનું ખૂલ્યું

ઊંઝા ગંજબજારના બે મોટા વેપારીઓના ઉનાવા સ્થિત ખોડીયાર એસ્ટેટમાં આવેલા ત્રણ ભાડાના વેરહાઉસમાંથી તસ્કરો કુલ રૂ.3 કરોડથી વધુની કિંમતની 2519 બોરી જીરું ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઊંઝા ગંજબજારમાં જીરુંનો વેપાર કરતા મૂળ રાજસ્થાનના નિતેશ ઘેવરચંદ શેઠ (જૈન)ના ઉનાવા ડીસન્ટ હોટલની પાછળ ખોડીયાર એસ્ટેટના વેરહાઉસ નં.13 અને 14માં જીરાની 1442 બેગ અને ઇસબગુલની 120 બેગ મૂકી હતી. છેલ્લે 12 ડિસેમ્બરે સ્ટોક ચેક કરેલ હતો. તા.2 જાન્યુઆરીએ પેઢીમાં કામ કરતા રામાભાઇ રબારીને ગોડાઉનથી માલ ભરી આવવા મોકલતાં વખારમાં ફક્ત ઇસબગુલની બેગ જ હતી. આમ, કોઇ શખ્સો 1392 જીરુની બેગ રૂ.1.67 કરોડની ચોરી ગયા હતા. ઉનાવા પીએસઆઇ કે.ઓ. રબારીએ કહ્યું કે, જીરાની મોટાપાયે ચોરી કેસમાં ઉનાવા ડીસ્ટાફની બે ટીમ, એલસીબી, એસઓજી સહિતની ટીમ તપાસ કરી રહી છે. વેરહાઉસમાં સીસીટીવી કેમેરા નથી. આસપાસ સહિતના વિસ્તારને આવરી લઇને તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બાંગ્લાદેશ ક્રિકેટ રમવા ભારત નહીં આવે; ચીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિને મુક્ત કરવાની માગ કરી; મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વેનેઝુએલાના સમર્થનમાં આવેલા ચીન સંબંધિત રહ્યા. ચીને અમેરિકા પાસેથી તાત્કાલિક રાષ્ટ્રપતિ માદુરોને મુક્ત કરવાની માંગ કરી હતી. દરમિયાન, બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે:બોર્ડે ICC પાસે શ્રીલંકામાં રમવાની માગ કરી; મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યા બાદ લીધો નિર્ણય બાંગ્લાદેશની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે. આ જાણકારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા આપવામાં આવી છે. બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે પોતાની ટીમના મેચ શ્રીલંકામાં યોજવાની માગ પણ કરી છે. બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને BCCIના આદેશ પર IPL માંથી બહાર કર્યા બાદ BCBએ આ નિર્ણય લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'અમેરિકા માદુરોને તાત્કાલિક મુક્ત કરે':ચીને કહ્યું- રાષ્ટ્રપતિનું અપહરણ કરવું ખોટું; ઉત્તર કોરિયા પણ વેનેઝુએલાના સમર્થનમાં, કહ્યું- અમેરિકા ગુંડાગર્દી કરી રહ્યું છે ચીને અમેરિકા પાસે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને તરત જ મુક્ત કરવાની માગ કરી છે. બંને અત્યારે અમેરિકાની કસ્ટડીમાં છે. અમેરિકી સેના તેમને વેનેઝુએલાની રાજધાની કારાકાસથી પકડીને અમેરિકા લઈ ગઈ છે. ચીની વિદેશ મંત્રાલયે રવિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને આ રીતે પોતાના દેશ લઈ જવા તે ખોટું છે. આ મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ. આ પહેલા પણ ચીને અમેરિકાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો3. બાંગ્લાદેશમાં હિન્દુ નેતાને ચૂંટણી લડવા પર પ્રતિબંધ:શેખ હસીનાની બેઠક પર RSS સાથે જોડાયેલા ગોવિંદનું ફોર્મ રદ; કહ્યું- BNPનું ષડયંત્ર બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાને ચૂંટણી લડતા રોકવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ગોવિંદ ચંદ્ર પ્રમાણિકે સંસદીય ચૂંટણીઓ માટે ગોપાલગંજ-3 બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ રિટર્નિંગ ઓફિસરે શનિવારે તેમનું ફોર્મ નામંજૂર કર્યું. પૂર્વ PM શેખ હસીના ગોપાલગંજ-3થી સાંસદ હતા. અહીં 50%થી વધુ હિન્દુ મતદારો છે. ગોવિંદ અપક્ષ ચૂંટણી લડવા માંગતા હતા. તેઓ વ્યવસાયે વકીલ છે અને બાંગ્લાદેશ જાતીય હિન્દુ મહાજોત (BJHM) નામના સંગઠનના મહાસચિવ પણ છે. BJHM કુલ 23 સંગઠનોનું હિન્દુત્વવાદી ગઠબંધન છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. Grok પર અશ્લીલ કન્ટેન્ટ બનાવવા પર એકાઉન્ટ બંધ થશે:ભલે તે અપલોડ ન કર્યુ હોય; X પર મહિલાઓની વાંધાજનક તસવીરો શેર કરવા પર કડક નિયમ, યુઝર્સ સામે થશે કાર્યવાહી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેની AI એપ Grok પર બનાવેલ અશ્લીલ કન્ટેન્ટ અંગેના નિયમો કડક કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે આવા કન્ટેન્ટ તાત્કાલિક હટાવવામાં આવશે. સાથે જ જો કોઈ યુઝર Grokનો ઉપયોગ કરીને વાંધાજનક કન્ટેન્ટ બનાવે છે, તો તેમની સામે એ જ કાર્યવાહી થશે, જે સીધી ગેરકાયદેસર સામગ્રી અપલોડ કરવા પર થાય છે. આનો અર્થ એ કે તેમના એકાઉન્ટ પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. યુવતીની છેડતી કરવાનો વિરોધ કર્યો તો યુવકની હત્યા કરી:બાઇક પર આવેલા 10 લોકોએ યુવકને ઘરેથી બોલાવીને ચાકુ માર્યું; લોકો જોતા રહ્યા વિદિશાની ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં શનિવારે રાત્રે એક યુવકની ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી. યુવતીની છેડતીનો વિરોધ કરવા પર આરોપીઓએ નંદુ ઉર્ફે શુભમ ચૌબે (22) ને ચપ્પુના ઘા ઝીંકી દીધા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ઘટના બાદ આસપાસ હાજર લોકોએ શુભમને હોસ્પિટલ પહોંચાડ્યો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. શુભમ એર કંડિશનર સુધારવાનું કામ કરતો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. મુંબઈના સિંગર પર અમદાવાદમાં હુમલો: કાનનો પડદો ફાટ્યો, મોઢે ટાંકા આવ્યા; સોંગ ક્રેડિટની અદાવતમાં ગુજરાતી સિંગર સહિત 6 લોકો હથિયાર વડે તૂટી પડ્યા અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ શ્યામ સિધાવતના પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની વળતી ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે. જોકે, હુમલાના ચાર દિવસ બાદ આ ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. '2036ની ઓલિમ્પિક પણ અહીં જ લાવવાની છે':હવે આપણે 100 મેડલ જીતવાના છે, તેમાં 10 તો ગુજરાતના જોઈએ, સુરતમાં ICC ચેરમેન જય શાહનું નિવેદન સુરતમાં સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત AM/NS Run for Girl Child ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે પણ ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે 2036 ઓલમ્પિકમાં ગુજરાત લાવવાનો અને ગુજરાત 10 મેડલ લાવશે અને બે મહિલા મેડલવીર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઉદ્ધવે કહ્યું-ભાજપ વોટ ચોરી બાદ ઉમેદવાર ચોરી રહી છે:લોકશાહી પર હવે ભીડતંત્રનો કબજો; 20 વર્ષ પછી શિવસેના ભવન પહોંચ્યા રાજ ઠાકરે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ માદુરોની ધરપકડ પર વર્લ્ડ મીડિયા:BBCએ કહ્યું- વેનેઝુએલા હવે ટ્રમ્પનો વારસો; અમેરિકી મીડિયાએ લખ્યું- માદુરો સરકાર હઠીલું વલણ અપનાવી રહી છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ દિલ્હી બ્લાસ્ટ: દરેક આતંકવાદી ડોક્ટર પાસે હતી ઘોસ્ટ સિમ:ફિઝિકલ SIM વિના મેસેજિંગ એપ્સ ચલાવી; ખુલાસા પછી જ લાગુ થયો એક્ટિવ સિમનો નિયમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ સાઉદી કરતાં વધુ તેલ છતાં પાઈ-પાઈ માટે નિર્ભર વેનેઝુએલા:એક સમયે દુનિયાનો ચોથો સૌથી ધનિક દેશ હતો, લોકો શોપિંગ માટે મિયામી જતા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ લોન શરત અને FD જેવી લાલચ આપીને ફસાવે છે એજન્ટો:વીમા કંપનીઓ વિરુદ્ધ 1.20 લાખ ફરિયાદો, મિસ-સેલિંગનો હિસ્સો 22.14% થયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ 05 જાન્યુઆરીનું અંકફળ:અંક 2ના જાતકોને પ્રયાસ કરવાથી ચોક્કસ સફળતા મળશે, અંક 6ના લોકોની સંપત્તિમાં વૃદ્ધિનો યોગ (સંપૂર્ણ સ્ટોરી વાંચો) 7. ટેક્નોલોજીઃ LG એ લોન્ચ કર્યા AI પાવર્ડ સ્પીકર્સ:કોઈપણ ગીતમાંથી ગાયકનો અવાજ હટાવી બનાવશે 'કરાઓકે' ટ્રેક, 25 કલાકનો બેટરી બેકઅપ (સંપૂર્ણ સ્ટોરી વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ હાથમાં સાપ લઈને એક વ્યક્તિએ પોલીસને ધમકાવ્યા હૈદરાબાદમાં, પોલીસે દારૂ પીધેલા એક વાહનચાલક દ્વારા ચલાવવામાં આવતી ઓટોરિક્ષા જપ્ત કરી. ત્યારબાદ ડ્રાઇવરે પોતાના ખિસ્સામાંથી સાપ કાઢ્યો અને પોલીસ અધિકારીઓને ધમકાવવાનું શરૂ કર્યું. તેની સામે ધાકધમકીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ફુલ ચાર્જ પર 1 હજાર કિમી દોડશે કાર:સિમ વગર પહાડો પરથી કોલ; મંગળની નજીક પહોંચશે માણસ; સાયન્સ-ટેકના 10 ઈનોવેશન 2. એકલી સ્ત્રીઓને ખેતરમાં સેક્સ માટે બોલાવતો:UPના કુલદીપે નવ સ્ત્રીઓને તેની જ સાડીના પાલવથી ગળેટૂંપો દઇ દીધો, સાડીની ગાંઠનું શૉકિંગ સિક્રેટ 3. પશુ પક્ષી-વનસ્પતિ ગાયબ થયા, પાણીના તળ ઊંડા ગયા:અંબાજીથી ઇડર સુધી માઇનિંગની ભયાનક વાસ્તવિકતા, ખનન થયું ત્યાં પહોંચ્યું ભાસ્કર4. બગદાણાના નામે લડાઈ સમાજની કે વર્ચસ્વની?:2017માં માયાભાઈએ કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કર્યો અને હીરા સોલંકી હાર્યા, અંબરીષ ડેરને ભાજપમાં લાવતા જ શરૂ થઈ ખેંચતાણ 5. આજનું એક્સપ્લેનર:દુનિયાના સૌથી મોટા તેલ ભંડાર પર હવે ટ્રમ્પનો કબજો, ભારત સહિત દુનિયાભરમાં તેલના ભાવ પર શું અસર પડશે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન જાતકોના કરિયર પર મહાદેવ મહેરબાન, મકરની મહિલાઓ માટે ગોલ્ડન દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:00 am

ભાસ્કર એક્સક્લૂસિવ:વીજકરંટથી બંને પગ ગુમાવતાં સૈનિક બનવાનું સ્વપ્ન રોળાયુું, હવે કૃત્રિમ પગે દોડી પેરા ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

મુકેશ ઠાકોરવાવ-થરાદ જિલ્લાના જેતડા ગામના વતની ગગદાસ થાનાભાઇ પરમારની જીવનકથા સંઘર્ષ અને અદમ્ય જીજીવિષાનું પ્રતીક છે. 29 મે, 2017ના રોજ સવારે 8:30 વાગ્યે જ્યારે તેઓ ખેતરેથી દૂધ ભરાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે એક વીજ ડીપી પાસે અચાનક જીવંત વીજ વાયર તેમના પગ પર પડ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાને કારણે 10 મહિના અમદાવાદ અને 6 મહિના ડીસામાં સારવાર લીધા બાદ, આખરે તેમના બંને પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપવા પડ્યા હતા આ દુર્ઘટના પહેલા ગગદાસ પોલીસ અથવા સૈન્યમાં જોડાઈ દેશસેવા કરવાનું સ્વપ્ન સેવતા હતા. પગ ગુમાવ્યા બાદ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને અપંગતા સામે હારી જવાને બદલે તેમણે જીવન સાથે સંઘર્ષ શરૂ કર્યો. પાલનપુરના મમતા મંદિરમાં ધોરણ 8 થી 12નો અભ્યાસ કરતાં સમયે કોચ નિલેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ તેમણે પેરા સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેમની પ્રતિભા અને સંઘર્ષને ધ્યાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CSR ફંડ અને સરકારી સહાય દ્વારા રૂ.14 લાખની કિંમતના અદ્યતન પ્રોસ્થેટિક પગ (કૃત્રિમ પગ) અર્પણ કર્યા. આ સાથે જ તેમને ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ અપાયું. હાલમાં ગગદાસે પોતાના ગામના રસ્તાઓ પર 100 અને 200 મીટર દોડની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેમનું અંતિમ લક્ષ્ય પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશનું નામ રોશન કરવાનું છે. ગગદાસની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ • વર્ષ 2022-23માં નેશનલ એથ્લેટિક્સમાં ચક્રફેંકમાં બ્રોન્ઝ મેડલ. • વર્ષ 2024માં પેરા પાવર લિફ્ટિંગમાં નેશનલ બ્રોન્ઝ, 2025-26માં ગોલ્ડ મેડલ. • હાલ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડબલ બ્લેડ રનર ખેલાડી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:57 am

ભાસ્કર એક્સક્લૂસિવ:જિલ્લામાં સ્ત્રી જન્મદર સુધારવા તંત્ર હવે સરપંચોના શરણે, દીકરાનો મોહ રાખતી સાસુઓને સમજાવશે

મહેસાણા જિલ્લામાં 1000 પુરુષ જન્મદરની સામે સ્ત્રી જન્મદર 900 જેટલો છે. સ્ત્રીનો સેક્સ રેશિયો ખૂબ જ ઓછો હોઇ જિલ્લા આરોગ્ય તંત્ર ગાયનેક તબીબોને ત્યાં સ્ટીંગ ઓપરેશન સહિતની કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય તંત્ર દ્વારા સામાજિક સ્તરે પણ સ્ત્રીનો જન્મદર સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના દરેક તાલુકાના જે ગામોમાં સ્ત્રીનો જન્મદર 800થી ઓછો છે તે ગામના સરપંચો સાથે તાજેતરમાં બેઠક યોજી હતી અને તેમના ગામથી જ સ્ત્રી સેક્સ રેશિયો સુધારવાની શરૂઆત કરવા સમજ આપી હતી. જેમાં સરપંચો અને ધાર્મિક સંસ્થાના વડાઓ દીકરાનો મોહ રાખતી સાસુઓને સમજાવવા સહિતનું કામ કરશે. જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિએ જિલ્લા આરોગ્ય અધિકારી ભરતભાઈ સોલંકી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરોની સાથે જે ગામમાં દીકરાની સાપેક્ષમાં દીકરીઓનો જન્મદર ઓછો છે તેવા દરેક તાલુકામાંથી એક કે બે ગામના સરપંચોને બોલાવી તેમની સાથે બેઠક કરી હતી. આ સરપંચો પાસે પોતાના ગામમાં સ્ત્રી જન્મદર સુધારવા માટેની સૌપ્રથમ બાંહેધરી લેવામાં આવી હતી. આ ગામોમાં 800થી ઓછો સેક્સ રેશિયો છે મહેસાણા તાલુકાના હરદેસણ અને પીલુદરા, વિજાપુરના બામણવા, વિસનગરના કડા, બહુચરાજીના ડોડીવાડા, ખેરાલુના ચાણસોલ, ઊંઝાના ભવાનીપુરા, જોટાણાના કટોસણ, કડીના માથાસુર, સતલાસણાના સુદાસણા અને ઊંઝાના જાસ્કામાં રેશિયો ઓછો છે. ધાર્મિક સંસ્થાના વડા,સામાજિક‎આગેવાનોનો સહયોગ લેવાશે‎મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસર‎ડૉ. સુહાગ શ્રીમાળીના જણાવ્યા‎મુજબ, જિલ્લાના તમામ‎તાલુકાના જે જે ગામોમાં‎દીકરાની સાપેક્ષમાં દીકરીનો‎જન્મદર ઓછો છે, ત્યાં પહેલીવાર‎સરપંચ દ્વારા ગામની પંચાયત‎તથા અન્ય સ્થળોએ દીકરા સામે‎દીકરીનું પ્રમાણ સુધારવા માટે‎ભીંતસૂત્રો લખાવવામાં આવશે.‎ગામમાં સરપંચ, ધાર્મિક‎સંસ્થાઓના આગેવાનો, રાજકીય‎આગેવાનો સાથે મિટિંગ યોજીને‎આગળનું આયોજન કરશે.‎

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:56 am

પોલીસ કાર્યવાહી:સાબરમતી રેતી લીઝ મામલે ધમકી, બે આરોપીની ધરપકડ

શહેરના રાયસણ વિસ્તારમાં ધોલેશ્વર મહાદેવ મંદિર પાછળ સાબરમતી નદીમાંથી રેતી કાઢવાના મામલે થયેલા વિવાદને લઈને ઇન્ફોસિટી પોલીસે બે લોકોને ઝડપી પાડ્યા છે. ફરિયાદી ચેતન ઠાકોર (ઉ.વ. 36) શનિવાર સાંજે પોતાના કર્મચારીઓ સાથે લીઝની જમીન પર હાજર હતો, તે દરમિયાન આરોપી ભીખા ભરવાડ અને ભાવેશ ઠાકોર અન્ય બે લોકો સાથે ત્યાં પહોંચ્યા અને ચેતનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલાની ગંભીરતા જોતા ચેતને પોલીસને ફોન કરીને બોલાવી હતી. પોલીસે સ્થળ પરથી બંને આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ચેતનને રેતી કાઢવાની લીઝ વર્ષ 2025માં મળી હતી. આ જ વર્ષના મે મહિનામાં જ્યારે તે સ્થળ પર ગયો ત્યારે ત્યાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ભીખા અને ભાવેશની ધરપકડ કરી હતી. બાદમાં બંને આરોપીઓ હાઈકોર્ટમાંથી જામીન પર મુક્ત થયા હતા. જામીનની શરત મુજબ તેઓ ગાંધીનગર વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે. છતાં પણ તેઓ ફરિયાદ પાછી ખેંચવા માટે ચેતનને ધમકી આપવા પહોંચ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:56 am

ગંભીર અકસ્માત સર્જાયો:જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા

પહેલો અકસ્માત સરગાસણ બ્રિજ પર થયો હતો. અહીં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની ટુ–વ્હીલર પર ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. બ્રિજ ચઢતી વખતે પાછળથી આવતા એક ફોર વ્હીલ વાહને ટક્કર મારતા વૃદ્ધ વાહન પરથી પડી ગયા હતા. તેમને માથા, ચહેરા, નાક, પેટ અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી, જેના બાદ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તપાસ દરમિયાન હાથના કોણીના ભાગે ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું. બીજો અકસ્માત સરગાસણ ચોકડીથી વાવોલ તરફ જતા માર્ગ પર, સેક્ટર–૪ નજીક થયો હતો એક યુવાન એક્ટિવા લઈને કામ પર જતો હતો ત્યારે સામે તરફથી આવતા એક બાઈક ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટક્કર મારી હતી. અકસ્માતમાં આ યુવાન રસ્તા પર પટકાયો હતો અને તેને ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હાથમાં ફ્રેક્ચર હોવાનુ સામે આવ્યુ છે. બંને અકસ્માતોમાં 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને હાલ બંને ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ અને હાઇવે તરફ જતા માર્ગો પર લોકો વધારે ઝડપથી અને બેફામ રીતે વાહન ચલાવતા હોય છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેવી માગ ઉૉઠી છે. ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં માર્ગની હાલત સુધરતાં વાહનચાલકો બેફામ બન્યા છે. આડેધડ વાહન હંકારતા હોવાને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:55 am

અનોખી ભાગવત કથાનું કરાયું આયોજન:ગાંધીનગરમાં રમેશભાઇ ઓઝાની વ્યાસપીઠે દેશની પ્રથમ પ્રકૃતિ ભાગવત કથા યોજાશે

ગાંધીનગરમાં આગામી તા. 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન એક અનોખી અને ખાસ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સૌ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવ રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ પરથી યોજાશે. આ કથોત્સવનું આયોજન ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા નેચર ફર્સ્ટ અને પ્રકૃતિપ્રેમી નાગરિકોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ ભાગવત કથાની સૌથી વિશેષ બાબત એ છે કે તે કોઈપણ મંડપ કે પંડાલ વગર, સંપૂર્ણપણે પ્રકૃતિના સાનિધ્યમાં યોજાશે. માત્ર રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ ઉપર એક ડોમ બંધાશે. સેક્ટર–૬માં આવેલા પ્રકૃતિ ધામ ખાતે, વૃક્ષોની વચ્ચે ખુલ્લી જગ્યામાં આ કથા યોજાવાની છે. પૂર્વ મંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ અલગ–અલગ પ્રસંગો પર આધારિત કથા કરવામાં આવશે. પ્રથમ દિવસે ભાગવતનું મહાત્મ્ય અને ભક્તિનો અર્થ સમજાવવામાં આવશે. બીજા દિવસે સૃષ્ટિની રચના અને પ્રકૃતિ–પરમાત્માના સંબંધની વાત કરવામાં આવશે. ત્રીજા દિવસે શ્રીકૃષ્ણ જન્મ અને જીવનમાં સંસ્કારના મહત્વ પર ચર્ચા થશે. ચોથા દિવસે બાળલીલાઓ દ્વારા માનવીના સ્વભાવ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનનો સંદેશ આપવામાં આવશે. પાંચમા દિવસે ગોવર્ધન લીલા મારફતે પર્યાવરણ સંરક્ષણનો ભાવ ઉજાગર કરવામાં આવશે. છઠ્ઠા દિવસે રાસલીલા અને સહઅસ્તિત્વની ભાવનાની વાત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:54 am

ચિત્ર સ્પર્ધાનું આયોજન:સફાઇ અભિયાન હેઠળ GMCની ચિત્ર સ્પર્ધામાં 124 બાળકોએ ભાગ લીધો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્ફોસિટી ચ-0 ગાર્ડન ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. સ્પર્ધા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાઈ. સ્પર્ધામાં ધોરણ 6થી 8 અને 9થી 12ના કુલ 124 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બંને કેટેગરી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અગાઉથી કરાયું હતું. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા આધારિત વિષય પર ચિત્રો બનાવ્યા. જેમાં લીલા-ભૂરા ડસ્ટબિનનો ઉપયોગ, સ્વચ્છ શાળા, સ્વચ્છ ઘર, સ્વચ્છ શહેર, 3R- રિડ્યુસ, રિયૂઝ, રિસાયકલ, પ્લાસ્ટિકનો ત્યાગ, બાળકોની ભૂમિકા, કચરાનું વર્ગીકરણ જેવા વિષયો સમાવાયા હતા. આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં નાનપણથી સ્વચ્છતાની ભાવના જગાવવાનો હતો. સાથે સમાજમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ થયો. બધા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રાઇટિંગ પેડ આપવામાં આવ્યા. બંને કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ મળ્યા. પહેલી કેટેગરીમાં પ્રથમને ₹5000, બીજાને ₹3000 અને તૃતીયને ₹2000 મળ્યા. બીજી કેટેગરીમાં પ્રથમને ₹11000, બીજાને ₹7000 અને તૃતીયને ₹5000 નો ઇનામ મળ્યો. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે અને સેનેટરી કમિટી ચેરમેન અંકિત બારોટ હાજર રહ્યા. બંનેએ વિદ્યાર્થીઓની કલાત્મકતા બિરદાવી. આશિષ દવેએ કહ્યું કે, આજના બાળકો સ્વચ્છ ભારતના નાનકડા સૈનિકો બન્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:53 am

ભાસ્કર એનાલિસીસ:જીએસટીના દર ઘટતાં લોકોની ખરીદશક્તિ વધી મહેસાણા ડિવિઝનમાં 3 માસમાં આવક 14% વધી

22 સપ્ટેમ્બર પ્રથમ નવરાત્રીથી જીવન જરૂરી 90 ટકાથી વધુ ચીજવસ્તુઓ જીએસટી દર ઘટવાથી સસ્તી થતાં જીએસટીની આવક ઘટશે તેવો સામાન્ય અંદાજ ચર્ચામાં રહ્યો હતો. જોકે, તેનાથી ઉલટું, ચીજવસ્તુઓના ભાવ ઘટવાથી નવરાત્રી પછી દિવાળીમાં લોકોની ખરીદ શક્તિમાં વધારો જોવા મળ્યો હતો. જેની અસરરૂપે મહેસાણા, પાટણ અને પાલનપુર જિલ્લાને આવરી લેતા મહેસાણા ડિવિઝનમાં જીએસટી દરમાં ઘટાડા પછી પણ આવકમાં 14 ટકાનો વધારો થયો છે. મહેસાણા ડિવિઝનના નવ ઘટકમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં જીએસટી આવક રૂ.543.35 કરોડ થઇ હતી. સપ્ટેમ્બર 22 પછી જીએસટી દરમાં ઘટાડાથી નાની મોટી 375 જેટલી વસ્તુઓ સસ્તી થઇ છે. પનીર, માખણ, નમકીન, ડ્રાયફૂટ સહિતની વસ્તુઓથી લઇને ટીવી, એસી, ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતનાં સાધનો પણ સસ્તાં થયાં છે. જીએસટીના નવા સ્લેબ 5 ટકા અને 18 ટકા કરાતાં આવકમાં મોટો ઘટાડો થઇ શકે છે તેવું માનવામાં આવતું હતું. જોકે, આ ઘટાડા પછીના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં મહેસાણા ડિવિઝનમાં આવક રૂ.620.18 ટકા થઇ છે. એટલે કે દર ઘટાડા પહેલાં કરતાં દર ઘટાડા પછીના ત્રણ મહિનામાં જીઆવકમાં રૂ.76.84 કરોડ (14 ટકા)નો વધારો થયો છે. જુલાઇથી સપ્ટેમ્બરમાં મહેસાણા ઘટકમાં રૂ.198.63 કરોડ જીએસટીની આવક થઇ હતી. જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં રૂ.205.75 કરોડ આવક થઇ. કડી ઘટકમાં પહેલા ત્રણ મહિનામાં રૂ.91.21 કરોડ અને ત્યાર પછીના ત્રણ માસમાં રૂ.128.81 કરોડ થઇ છે. દિવાળીની ખરીદી વધતાં કલેક્શન વધ્યુંજીએસટી દર ઘટાડા પછી દિવાળીના તહેવારો આવતાં દેખીતી રીતે આવકમાં વધારો નોંધાયો છે. દિવસે દિવસે બજારમાં પ્રગતિ થતી જાય છે, જીએસટી દર ઓછો થયો તો સામે લોકોની ખરીદી શક્તિ પણ વધી છે. તહેવારોમાં ખરીદી વધી તે કલેક્શનમાં દેખાય છે. > મિતેષભાઇ પ્રજાપતિ, સંયુક્ત રાજ્ય વેરા કમિશનર, મહેસાણા વાર્ષિક લક્ષાંક રૂ.2601 કરોડ, નવ મહિનામાં‎રૂ.1938.12 કરોડ આવક, હજુ 3 મહિના બાકી‎‎મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર‎અને પાટણ ઘટકને આવરી લેતા મહેસાણા જીએસટી ડિવિઝનમાં વર્ષ‎2025-26માં કુલ રૂ.2601 કરોડની આ વકનો લક્ષાંક આપ્યો છે. જેમાં‎એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિનામાં રૂ.1938.12 કરોડનું‎કલેક્શન થયું છે એટલે કે, લક્ષાંકના 75 ટકા કલેક્શન થઇ ગયું છે. હજુ‎માર્ચ સુધી ત્રણ મહિનામાં રૂ.662.88 કરોડ કલેક્શન લક્ષાંક બાકી છે.‎

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:53 am

વેધર રિપોર્ટ:લઘુતમ તાપમાન ફરી 0.8 ડિગ્રી ઘટ્યું, પારો 12

ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં ધીમો પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે હવે ઠડીનું પ્રમાણ પણ વધ્યું છે. રવિવારે શહેરનું લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી જેટલું ઘટ્યું છે જેથી 12 ડિગ્રી થયું છે. બીજીતરફ મહત્તમ તાપમાનમાં સામાન્ય એવો 0.2 ડિગ્રીનો વધારો થતાં 26 ડિગ્રી જેટલું નોંધાયું છે. જેથી રાત્રિની સાથે દિવસે પણ વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને સાંજે 48 ટકા જેટલું નોંધાયું હતું. તાપમાનમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો હોવાથી જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતા છે. હજુ આગામી દિવસોમાં પારો બેથી ત્રણ ડિગ્રી ગગડી શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:53 am

રોબોફેસ્ટ ગુજરાત 5.0:રોબોફેસ્ટમાં વિદ્યાર્થીઓના 200 પ્રોજેક્ટ માટે પેટન્ટ ફાઇલ થઇ

રોબોફેસ્ટ ગુજરાત 5.0 ગાંધીનગરમાં યોજાયો હતો, જેમાં રાજ્યભરના સ્કૂલ, કોલેજ તથા વિવિધ ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રોબોફેસ્ટમાં વિદ્યાર્થીઓએ પોતાના દ્વારા બનાવાયેલા રોબોટ્સ રજૂ કર્યા હતા અને સાથે સાથે વર્તમાન સમયની વિવિધ સમસ્યાઓ માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન પણ રજૂ કર્યા હતા. ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ભારતમાં અત્યાર સુધી યોજાયેલી કોઈપણ સ્પર્ધામાં ક્યારેય ન થયું હોય તેમ, રોબોફેસ્ટ 5.0માંથી 200થી વધુ પેટન્ટ ફાઇલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ્સ, સેલ્ફ-કંટ્રોલ્ડ વાહન ચલાવનારા રોબોટ્સ, અંડરવોટર રોબોટ્સ, એરિયલ રોબોટ્સ, મેઝ સોલ્વર રોબોટ્સ અને રોબોટિક એટલેટિક્સનો સમાવેશ થયો હતો. હેલ્થકેર અને હ્યુમેનિટેરિયન ઉપયોગ માટે તૈયાર કરાયેલા એપ્લિકેશન આધારિત રોબોટ્સ પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા. કેટલાક રોબોટ્સ આકાશમાંથી માઇનફિલ્ડ ઓળખી શકે તેવી ક્ષમતા ધરાવતા હતા, જ્યારે કેટલાક રોબોટ્સ પાણીની અંદર સર્વે કરી શકે તે રીતે વિકસાવવામાં આવ્યા હતા. આઈડિયેશન, પ્રૂફ ઓફ કન્સેપ્ટ અને પ્રોટોટાઇપ એમ ત્રણ તબક્કામાં પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રોબોફેસ્ટ 5.0માં AI આધારિત સ્માર્ટ રોબોટ્સ, સ્વચાલિત વાહનો, અંડરવોટર અને એરિયલ રોબોટ્સ રજૂ થયા. ઘણા રોબોટ્સ આરોગ્ય, સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:52 am

હોબાળો:ખેરાલુ ના.બેન્કમાં સત્તા પક્ષના 6 ઉમેદવારો ગેરલાયક ઠર્યા, મધરાતે ચૂંટણી મોકૂફ રખાઇ

ખેરાલુ નાગરિક સહકારી બેંકની રવિવારે યોજાનારી બહુચર્ચિત ચૂંટણીમાં શનિવારે મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મહેસાણા બોર્ડ ઓફ નોમિનિઝે સત્તા પક્ષ તરફે 6 ફોર્મ રદ કરતાં બેંક મેનેજરે મધરાતે ચૂંટણી મોકૂફ રાખતો આદેશ કરતાં ભારે વિવાદ સર્જાયો છે. નોટિસમાં રાત્રે હુકમની બજવણી, વાંધા અરજી અને બેલેટ બદલવા માટે ચૂંટણી રદ રખાઈ હોવાનું જણાવ્યું છે. શનિવારે મોડી સાંજે આવેલા ચુકાદા બાદ સત્તાપક્ષની હાર નિશ્ચિત જણાતી હતી. આ સ્થિતિમાં ચૂંટણી અધિકારી અને બેંકના મેનેજર ભવન પટેલે સત્તાપ ક્ષના ઈશારે હાઈકોર્ટના આદેશથી માંડી જિલ્લા રજિસ્ટ્રારના આદેશની અવહેલના કરી રાતોરાત હસ્તલિખિત નોટિસ બેંકના શટર અને ખેરાલુના જાહેર સ્થળો પર ચોંટાડી હતી. જેમાં બોર્ડ ઓફ નોમિનિઝના કેસ નં.196/2025ના ઓર્ડરનો હવાલો આપી આગામી આદેશ સુધી ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરતાં હોબાળો મચ્યો હતો. રવિવારે સવારે નિર્ધારિત સમયે મતદાન કરવા ઉત્સાહભેર આવેલા અસંખ્ય સભાસદોને જ્યારે જાણ થઈ કે ચૂંટણી મોકૂફ રહી છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મત આપ્યા વગર પરત ફરવાનો વારો આવતાં અનેક સભાસદોએ બેંકના ચૂંટણી અધિકારી મેનેજર ભવન પટેલ અને સત્તાધીશોની કામગીરી સામે હોબાળો મચાવ્યો હતો. જોકે રવિવાર હોવાથી વહીવટી પ્રક્રિયા બંધ રહેતાં મામલો એક દિવસ પૂરતો દબાયેલો રહ્યો છે. ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારોએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ચૂંટણી અધિકારીએ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. આથી તેમની વિરુદ્ધ ફરિયાદ કરીશું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:52 am

4 લાખનું મટીરિયલ ચોરાયું:ગિફ્ટ સિટીમાં બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમની ચોરી

ગિફ્ટસિટી વિસ્તારમાં નિર્માણ હેઠળના એક રહેણાંક પ્રોજેક્ટના કમ્પાઉન્ડમાંથી 4.10 લાખના એલ્યુમિનિયમ મટીરીયલ્સની ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રોજેક્ટ ઇનચાર્જ પ્રદિપ બાલકૃષ્ણન દ્વારા આ મામલે ડભોડ઼ા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ગિફ્ટ સિટીમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ હાલ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે ત્યારે ગીફ્ટસિટી ખાતે આવેલી શોભા લિમિટેડ કંપનીના શોભા એવલોન પ્રોજેક્ટના કમ્પાઉન્ડમાં કંપનીએ એપ્રિલ 2025માં ખરીદેલું એલ્યુમિનિયમ સેટ્રીન મટીરીયલ્સ રાખવામાં આવ્યું હતું. ગત તારીખ 7 નવેમ્બરની રાત્રિથી 8 નવેમ્બરની સવાર દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પ્રોજેક્ટ સાઇટના પતરાના કમ્પાઉન્ડમાંથી આ કિંમતી પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. 8 નવેમ્બરના રોજ ફોરમેન ત્રિલોકચંદ જહાંગીરે સામાન ગુમ હોવાની જાણ કરી ત્યારે કંપનીના કર્મચારીઓએ આંતરિક રીતે શોધખોળ શરૂ કરી હતી. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં સામાન ન મળી આવતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:51 am

રોગચાળો ડામવા નિર્ણય:તમામ સેક્ટરોમાં આજથી એક જ લાઇનથી 24 કલાક પાણી અપાશે

જૂના સેક્ટરોમાં હજુ 24 કલાક પાણીની યોજના અમલી બની નહીં હોવાથી હાલ બે લાઇનમાં પાણી અપાય છે. સવારે પાટનગર યોજના વિભાગ દ્વારા 6થી 8 વાગ્યા સુધી રેગ્યુલર પાણી આપે છે. જ્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચરેડી ખાતેથી 10થી 6 વાગ્યા સુધી 24 કલાક પાણીની યોજનાની અલગ લાઇનમાં પાણી આપે છે. પાણીની લાઇનમાં લિકેજ થવાથી ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે સોમવારથી સળંગ 24 કલાક એક જ લાઇનમાં પાણીનો સપ્લાય અપાશે. જેથી તમામ ઘરો સુધી ક્લોરિન સાથેનું શુદ્ધ પાણી પહોંચાડી શકાશે. આ માટે બાકી જોડાણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટાઇફોઇડના રોગચાળા સંદર્ભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાથે ચર્ચા કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. બીજીતરફ અસરગ્રસ્ત વિસ્તારો સેક્ટર-24, 26 અને 28 તથા આદીવાડામાં 75 હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. ટાઈફોડના 113 કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે. 24 કલાક ઓપીડી શરૂ કરવામાં આવી છે. 20800 થી વધુ ઘરોમાં સર્વે કરીને 90 હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે. વિતરણની સમીક્ષા માટે સેક્ટરવાઇઝ ટીમગાંધીનગરમાં હાલ પાણી મામલે પાટનગર યોજના, પાણી પુરઠા બોર્ડ અને મહાનગરપાલિકા સંકળાયેલા છે. દરેકની કામગીરી અલગ છે, પાઇપલાઇન અલગ છે જેથી એકબીજા પર દોષારોપણની સ્થિતિ ડામવા ત્રણેય તંત્રના અધિકારીઓની સેક્ટરવાઇઝ સંયુક્ત ટીમ બનાવીને 7 દિવસ સુધી સુપરવિઝનની સૂચના ઉચ્ચકક્ષાએથી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:51 am

બાકીના 3.49 લાખ મતદારોના નામમાં રહેલી વિસંગતતા બીએલઓ દૂર કરશે:અઢી લાખ મતદારોના નામ ને અટક સહિતનો એપમાં જ સુધારો થતાં પુરાવા નહીં આપવા પડે

મહેસાણા જિલ્લામાં મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ એસઆઈઆરની એપ્લીકેશનમાં 6,03,517 મતદારોના નામ કે તેમના નામ સંબંધી સાથે મિસમેચ કે અટક આગળ, પાછળ, અટકમાં બદલાવ કે જોડણી સહિતની ભૂલો જણાઇ આવી હતી. સામાન્ય જોડણી કે અક્ષરમાં વર્ષ 2002 અને 2025ના મેપિંગમાં મીસમેચ હોય તેવા મતદારોના નામ સુધારવા પડે તેમ હતા. આખરે ઓનલાઇન સોફ્ટવેરથી જોડણી તેમજ આગળ, પાછળ અટક જેવી નાની નાની વિસંગતતા વાળા 2,54,048 નામોમાં ફેરફાર એપ્લીકેશનથી દૂર થતાં બીએલઓનો થોડો ભાર હળવો થયો છે. હાલમાં મતદાર, પિતા કે દાદાના નામ મીસમેચ, વર્ષ 2002 અને 2025માં અટક કે ઉંમર મિસમેચ વગેરે જેવી તાર્કિક વિસંગતતામાં જિલ્લામાં 3,49,469 મતદારોના નામ હોઇ હવે જે તે બીએલઓ તેમના ભાગના મતદારોની તાર્કિક વિસંગતતા દૂર કરવા ડોક્યુમેન્ટ ચકાસીને કામગીરી કરી રહ્યા છે. જેમાં મતદાર કે તેમના મેપિંગ સંબંધીના નામ, અટક મીસમેચ હોય તેવા કિસ્સામાં જિલ્લાના તમામ 1991 બીએલઓ તેમના ભાગમાં આવેલા મતદારોના સંપર્ક કરીને ડોક્યુમેન્ટ મેળવી ચકાસીને ઓનલાઇન એપ્લીકેશનમાં અપલોડ કરી વિસંગતતા દૂર કરવા કામે લાગ્યા છે. મેપિગમાં વિસંગતતા વિધાનસભા મતદારો ખેરાલુ 49424 ઊંઝા 43913 વિસનગર 39340 બહુચરાજી 54826 કડી 63234 મહેસાણા 58159 વિજાપુર 40573 કુલ 349469

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:50 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દૂષિત પાણીને કારણે બાળકોને ટાઇફોઇડ થયો છે એ સેક્ટર-24, આદીવાડા અને સિવિલ હૉસ્પિટલથી રિપોર્ટ

સ્થળ : સિવિલ હૉસ્પિટલ : સર્જિકલ અને મહિલા વોર્ડમાં પણ બાળદર્દીને રખાયાં સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક્સ વિભાગમાં આ સમયે શાંતિ નહીં, એક દબાયેલો ભય છવાયેલો છે. પીઆઈસીયુની બહાર ઊભેલા માતા-પિતાની આંખો દરવાજો ખુલતાં જ અંદર ઝાંખી લેવાનો પ્રયત્ન કરે છે. કોઈના હાથમાં દવાઓનું પ્રિસ્ક્રીપ્શન છે, તો કોઈના હાથમાં બાળકોના કપડાં. દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડની બિમારીમાં પટકાયેલા બાળ દર્દીઓની સંખ્યા હાલમાં ઘટીને 95 રહી છે. 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 9 નવા કેસ પણ દાખલ થયા છે. આ બધા દર્દીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર હેઠળ છે, પરંતુ તેમની ગણતરી આ આંકડાઓમાં સમાવિષ્ટ નથી. ગાંધીનગર માટે આ અચાનક વધેલો રોગચાળો અસામાન્ય અને ચિંતાજનક ઘટના રહી છે. સૌથી વ્યથિત કરનાર તસવીર બાળકોની છે. બીમાર પડનારામાંથી આશરે 90 ટકા બાળકો છે, જેમની ઉંમર 1 થી 14 વર્ષ વચ્ચેની છે. તેમાંથી ત્રણ બાળકો હજી પણ ક્રિટિકલ કેરમાં છે. પીઆઈસીયુની બહાર તેમના પરિવારજનો ઊભા છે. મુલાકાતની પરવાનગી એક-એક કરીને આપવામાં આવે છે, જ્યાં દરેક પળે આશા અને ભય દેખાય છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત એવા લગભગ 15 ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, જિલ્લા સ્તરના 10 ડૉક્ટરોને 24 કલાકની દેખરેખ પર રાખવામાં આવ્યા છે. બાળકોની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈ સર્જિકલ વોર્ડ અને મહિલા વિભાગના એક ભાગને પણ બાળકો માટે અનામત રાખવો પડ્યો છે. કુલ ત્રણ સ્થળોએ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પીડિયાટ્રિક વોર્ડ અને પી.આઈ.સી.યુ.નો સમાવેશ થાય છે. હજુ બે અઠવાડિયા સુધી કેસો આવી શકે છે, તબીબ, સિવિલ હોસ્પિટલહોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દર બે કલાકે તમામ વોર્ડની મુલાકાત લઈ રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે ટાઈફોઈડના લક્ષણો ક્યારેક 15 દિવસ બાદ પણ દેખાઈ શકે છે, તેથી આવતા બે અઠવાડિયામાં વધુ દર્દીઓ સામે આવી શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર, તમામ દર્દીઓને દૂષિત પાણીની અસર લગભગ એક જ સમયગાળા દરમિયાન થઇ હશે, જેના લક્ષણો લગભગ પાંચ દિવસ બાદ દેખાવવા લાગ્યા છે. સ્થળ : આદીવાડા, સે-24 : આવીને તપાસ કરી જાય છે, પણ નિરાકરણ લાવતા નથી સેક્ટર 24ના ઇંદિરા નગરમાં પ્રવેશ કરતા જ સ્થિતિ સ્પષ્ટ દેખાય છે. અહીં કોઈ એક ગલીની વાત નથી લગભગ દરેક ગલીમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ સારવાર હેઠળ છે. ઘરોની બહાર ઉભેલા લોકો એક જ વાત કહે છે પાણીમાંથી દુર્ગંધ આવતી હતી, પછી ડહોળાશ વધતી ગઈ અને લોકો બીમાર પડતા ગયા. સ્થાનિક રહેવાસી ઇશ્વરભાઈ જણાવે છે કે અંદાજે પાંચ દિવસ પહેલા નળમાંથી આવતાં પાણીમાં ગંદી દુર્ગંધ આવવા લાગી હતી. શરૂઆતમાં લોકોએ તેને અવગણ્યું, પરંતુ બાળકોની તબિયત બગડવા લાગી ત્યારે ચિંતા વધી. ઇશ્વરભાઈએ કહ્યું આ પહેલી વાર નથી. દોઢ વર્ષ પહેલા પણ આમ ગંદું પાણી આવી રહ્યું હતુ. અમે મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે પાણીનું સેમ્પલ લઈને આવો, ત્યાર બાદ તપાસ કરાશે. ફરિયાદો નોંધાઈ, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. બીમાર બાળકોની સંખ્યા જ્યારે 109 સુધી પહોંચી, ત્યારે છેલ્લા બે દિવસથી તાત્કાલિક રીતે મહાપાલિકાના કર્મચારીઓ વિસ્તારમાં કામ કરતા દેખાયા. ખાડાઓ ભરી દેવાયા છે, જૂની પાઈપલાઈનોની મરામત શરૂ કરવામાં આવી છે અને કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને પાણી ઉકાળી ને પીવા માટે સલાહ આપી રહ્યા છે. આ સલાહ પોતે જ તે વ્યવસ્થાની નિષ્ફળતા તરફ ઈશારો કરે છે, જેનું મુખ્ય કામ સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનું છે. ઇંદિરા નગરથી બહાર નીકળતાં જ પાણીની પાઈપલાઈનની મરામતનું કામ ચાલતું જોવા મળે છે. એક કર્મચારી જણાવે છે કે તેઓ પહેલાં એક તૂટી ગયેલી લાઈનની મરામત કરી આવ્યા છે અને હવે આગળ બીજી જગ્યાએ જશે. સંસાધનોની ભારે અછત અહીં સ્પષ્ટ જોવા મળે છે કર્મચારીઓ પોતાના હાથેથીજ ગંદું પાણી બહાર કાઢીને લાઈન સુધારવાનું કામ કરી રહ્યા છે. અહીંથી લગભગ 1.7 કિલોમીટર દૂર આવેલા આદિવાડા વિસ્તારમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. અહીંના રહેવાસી જીજ્ઞેશભાઇ જણાવે છે કે પાણીનો મુખ્ય સ્ત્રોત અહીંથી પસાર થાય છે, એટલે કે મોટી પાઈપલાઈન આ વિસ્તારથી જાય છે. 150 મકાનોની આ વસાહતમાં અનેક લોકો બીમાર પડ્યા છે. કેટલાક ઘરોમાં હજુ પાણીમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ છે. રોગચાળા પછી આજે પણ આદિવાડાના ઘરોમાં દૂષિત પાણી વિતરણ થયું હતું. પાણીની લાઇનમાં લિકેજ મળવાનું ચાલું જ છેશહેરમાં પાણીની લાઇનમાં લિકેજ મળવાનું સતત ચાલુ જ છે. આજે પણ દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ લિકેજ મળતાં તંત્ર દ્વારા જોઇન્ટ લગાવીને તેને દુરસ્ત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:49 am

વ્યાજ સાથે વીમાક્લેમ ચૂકવવા આદેશ‎:અકસ્માતની ફરિયાદ કે પંચનામું ના હોવા છતાં અકસ્માત વળતર રોકી શકાય નહીં : ગ્રાહક કોર્ટ

પાટણમાં ઝાડનું ડાળું તૂટી પડવાથી ખેડૂતના મૃત્યુ કેસમાં પોલીસ ફરિયાદ અને પંચનામું થયેલ નથી તેવું કારણ દર્શાવી વીમા કંપનીએ નામજૂર કરેલ ક્લેમ ગ્રાહક કોર્ટ વીમા કંપનીને વ્યાજ સાથે ક્લેમની રકમ ચૂકવવા હુકમ કરાયો છે. શહેરના રાધનપુરી વાસમાં રહેતા પટણી નારણભાઈ સોનજીભાઈ 7 નવેમ્બર 2024ના રોજ ફુલણીયા હનુમાન રોડ ઉપર આવેલા તેમના ખેતરમાં કામ કરતા હતા ત્યારે બાજુના ખેતરમાં મજૂરો અરડૂસાનું ઝાડ કાપવા હોય તેઓ પણ ત્યાં ગયા હતા અને ત્યારે બીજા શેઢા પાડોશીઓ પણ ઉભેલા હતા. આ વખતે ઝાડનું મોટું ડાળું તૂટી પડતાં સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. અન્ય લોકોને ઈજા થઈ હતી. મૃતક ખેડૂત ખાતેદાર હોવાથી એપીએમસી પાટણ દ્વારા લીધેલ જનતા પર્સનલ એકસીડન્ટ ઇન્સ્યોરન્સ વીમા પોલિસી અંતર્ગત ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વીમા કંપનીમાં કલેમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ અકસ્માત ઘટનાનાની પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી,પીએમ કે ઘટનાનું પંચનામુ કરાયેલ નથી તેવું કારણ દર્શાવી ક્લેમ નામંજુર કરતાં વકીલ દર્શકભાઈ ત્રિવેદી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે ડોક્ટરનું સર્ટિફિકેટ, ખેતર માલિકનું સોગંદનામુ, અકસ્માતનું સોગંદનામુ વગેરે રજુ કર્યા હતા. વકીલે સ્પષ્ટ કર્યું હતું કે વીમા કંપનીના સર્વેયરે નારણભાઈનું પટણીનું મૃત્યુ અકસ્માતથી થયેલ હોવાનો રિપોર્ટ કર્યો છે ત્યારે તે પોલીસ ફરિયાદ કે પંચનામાની કોપી રજૂ કરેલ નથી તેમ જણાવી ક્લેમ નામંજૂર કરવો યોગ્ય નથી. તેમણે અલગ અલગ જજમેન્ટ પણ રજૂ કર્યા હતા. આ અંગેનો કેસ કમિશનમાં ચાલી જતાં વકીલની દલીલો માન્ય રાખીને ફરિયાદ પક્ષ ક્લેમની રકમ મેળવવા હક્કદાર હોવાનું જણાવી ₹1 લાખ વીમા ક્લેમની રકમ 9 ટકાના સાદા વ્યાજ સાથે તેમજ ખર્ચ, માનસિક ત્રાસના રૂ.3000 ચૂકવવા કમિશન પ્રમુખ એન.પી.ચૌધરીએ હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:49 am

તાલુકા સ્વાગતમાં સમસ્યાનો નિકાલ ના આવતા જિલ્લા સ્વાગતમાં ફરિયાદ:હારિજના ઇન્દિરાનગર સોસાયટીમાં છ માસથી ગટર ઉભરાતા રહીશોને હાલાકી

હારિજ શહેરના ઈન્દિરાનગર વિસ્તારોમાં ઉભરાતી ગટરથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.અનેકવાર રજૂઆતો તેમજ તાલુકા સ્વાગતમાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરાઈ છે. હારિજના ઈન્દિરાનગર વિસ્તારોમાં છેલ્લા 6 મહિનાથી ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા છે. સૌથી ભયાનક સ્થિતિ એ છે કે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની પાઈપલાઈનમાં મિક્સ થઈ રહ્યું છે. જે સેંકડો પરિવારોના આરોગ્ય સાથે સીધા ચેડાં સમાન છે. સ્થાનિક રહીશોએ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર સમક્ષ વેદના ઠાલવી હતી. પાલિકાના કર્મીઓએ 2થી 3 દિવસમાં કામ પૂરું કરવાની ખાતરી આપી હતી, પરંતુ આજે મહિનાઓ વીત્યા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. ​સ્થાનિક રહીશ બી.કે.સોલંકી એ જણાવ્યું હતું કે પાલિકાના કર્મચારીઓ દલિત સમાજ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે.ઈન્દિરાનગર ઉપરાંત આંબેડકર વાસ, શિવશક્તિ સોસાયટી અને સોમનાથ-2 જેવા વિસ્તારોમાં તૂટેલા ગટરના ઢાંકણા ગમે ત્યારે મોટી જાનહાનિને આમંત્રણ આપી રહ્યા છે. તંત્રની આ તાનાશાહી સામે હવે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કાયમી ઉકેલ નહીં આવે તો 60 થી વધુ લોકો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરાશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:48 am

ફાયરિંગનો પ્રયાસ:રાધનપુરમાં જૂની અદાવતમાં વેપારી પર હૂમલો 50 લાખ માંગી રિવોલ્વરથી ફાયરિંગનો પ્રયાસ

રાધનપુરમાં મહેસાણા હાઈવે પર આવેલી પ્રિન્સ હોટલ પર 7 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં વેપારી પાસે રૂ.50 લાખની માંગણી કરી, લાકડીઓ વડે માર માર્યો અને રિવોલ્વરથી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા થઈ છે. આ ઘટનામાં પોલીસે 5 શખ્સોને પકડી પાડ્યા હતાં. રાધનપુરના અર્બુદાનગરમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા પ્રભાતભાઈ જામાભાઈ રબારી પર જીવલેણ હુમલો થયો હતો. આરોપી ભરતભાઈ સુખાભાઈ રબારીએ 2 જાન્યુઆરી, 2026ના રોજ પ્રભાતભાઈને ફોન કરીને ધમકી આપી હતી. અગાઉના એક કેસમાં પ્રભાતભાઈએ રસ લેતા ભરતભાઈને મોટો ખર્ચ થયો હોવાથી તેમને પતાવી દેવાની ધમકી આપી હતી. 3 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિના 1:30થી 2:00ની આસપાસ પ્રભાતભાઈ તેમની પ્રિન્સ હોટલ આગળ મિત્રો સાથે બેઠા હતા. તે સમયે GJ 18 BR 5571ની ઇનોવા ગાડીમાં 7 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ હોટલ પર પહોંચી પ્રભાતભાઈ પાસે રૂ.50 લાખની માંગણી કરી હતી.જ્યારે પ્રભાતભાઈએ નાણાં આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ભરતભાઈ રબારી અને તેના સાથીઓએ લાકડીઓ વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન એક આરોપીએ રિવોલ્વર મંગાવી લોડ કરીને પ્રભાતભાઈ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર અન્ય લોકો વચ્ચે પડતાં મોટી જાનહાનિ ટળી હતી. આ હુમલામાં પ્રભાતભાઈ અને તેમના ભાઈ જોરાભાઈને માથા તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચતાં સારવાર માટે સામવેદ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા છે. જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને 5 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા. રાધનપુર પોલીસે ભરતભાઈ સુખાભાઈ રબારી, હરિભાઈ સુખાભાઈ રબારી, અમરતભાઈ વાસીભાઈ રબારી, લાલાભાઈ જેસંગભાઈ રબારી, બળદેવભાઈ વિરમભાઈ રબારી, વિષ્ણુભાઈ રબારી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 4:47 am