રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. 1 ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા, વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર ગ્રામિણ વિસ્તારોમાં જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે નાના ટુકડામાં જમીન વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર થશે. અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ વસુલાતો, હવે કોઈપણ દંડ વગર આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે. હજારો કેસો જે રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતા તેમાંથી લોકોને રાહત મળશે. 'સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો'રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટુકડાધારાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેમાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જતા હતા. હવે આ સુધારા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને પણ લાભ મળશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશેલાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયેલા, કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો ધરાવતા કેસોમાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ અને વિલંબ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશે. રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશેસરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. 135(ડી)ની નોટિસ શું છે?હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે. રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ₹3440 કરોડનો નિર્ણયજીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અંદાજે ₹3440 કરોડના ખર્ચે લગભગ 5700 કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે 2342 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 33 જિલ્લાઓમાં અમલમાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશાજીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ 4 વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને 7 વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી 7થી 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
નવસારી શહેરના ગીચ દશેરા ટેકરી વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાલાપીર દરગાહ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ત્રણ મકાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, દશેરા ટેકરીમાં બાલાપીર દરગાહ પાસેના એક ઘરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. તેજ પવનના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને પાડોશમાં આવેલા અન્ય ત્રણ મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, આગના કારણે મકાનોમાં રહેલી ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેનાથી મોટું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રેકટરોને પસાર કરી બ્રિજનું ટેસ્ટિંગઆજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને નવા સ્પાનની કામગીરી સોંપાઈ હતીઆ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે.નવા બ્રિજની કામગીરી પર પૂરજોશમાં ચાલુબીજી તરફ, આ જૂના બ્રિજની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી પૂર્વવત થયો છે.
સુરતના ડુમસ વિસ્તારમાં એક યુવતી છેલ્લા 6 વર્ષથી જેની સાથે લગ્નના સપના જોતી હતી, તે જ પ્રેમી આખરે માનસિક ત્રાસનું કારણ બન્યો હતો. જોકે, 181 મહિલા હેલ્પલાઇનની સમયસૂચકતાને કારણે આ ગંભીર વિવાદનો સુખદ અંત આવ્યો છે. 6 વર્ષના સંબંધોમાં અન્ય યુવતીઓની એન્ટ્રી ભોગ બનનાર યુવતી અને યુવક વચ્ચે છેલ્લા 6 વર્ષથી ગાઢ પ્રેમ સંબંધ હતો. યુવતી આ યુવક સાથે જીવન વિતાવવા માંગતી હતી, પરંતુ સમય જતાં તેને યુવકના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક અન્ય યુવતીઓ સાથે પણ પ્રેમ સંબંધ ધરાવતો હતો. દગાની જાણ થતાં જ યુવતીએ હિંમત દાખવી સંબંધો તોડી નાખ્યા હતા. અંગત ફોટા અને સતત માનસિક દબાણ સંબંધ તૂટ્યા બાદ પણ યુવકની હેરાનગતિ ચાલુ રહી હતી. તે યુવતીને માનસિક ત્રાસ આપતો અને તેને સતત પોતાના નિયંત્રણમાં રાખવાની કોશિશ કરતો હતો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે યુવકના મોબાઈલમાં યુવતીના કેટલાક અંગત ફોટા હતા, જે તે ડિલીટ કરવાની સ્પષ્ટ ના પાડતો હતો. આ દબાણથી કંટાળીને અંતે યુવતીએ 181 અભયમની મદદ માગી હતી. અભયમનું અસરકારક કાઉન્સેલિંગ ઘટનાની જાણ થતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે બંને પક્ષોને કાયદાકીય જોગવાઈઓ અને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે ખાતરી આપી હતી કે તે હવે યુવતીનો સંપર્ક નહીં કરે અને તેના મોબાઈલમાંથી તમામ ફોટા ડિલીટ કરી દેશે. યુવતીએ પણ આ સમાધાનનો સ્વીકાર કરતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચતા અટક્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં જોરાવરનગર પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 158 બોટલો જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન મકાનમાલિક અને બુટલેગર કરણ રણછોડભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, કરણભાઈ રણછોડભાઈ રાઠોડના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. મકાનના દરવાજા તથા છત વગરના ખુલ્લા બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની 158 દારૂની બોટલો અને સીલબંધ ચપલાઓ મળી આવ્યા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે કરણ રણછોડભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે જોરાવરનગર પોલીસે પણ આ દિશામાં સક્રિય કાર્યવાહી કરી છે.
આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 5 વર્ષથી રજૂઆતો છતાં કામ ન કર્યુંનાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પાંચ વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષ રજૂઆતો છતાં ના કર્યું કામ જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરને કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનો સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે. ‘હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી’સૈજપુર બોઘા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સાથે સ્થાનિક નાગરિકો કામ બાબતે કરી રહેલી બોલાચાલી અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યભાસ્કર દ્વારા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે તેમના પતિ સુરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી.
બે દિવસ પહેલાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મોટી સંખ્યામાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા હતો. પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનભાજપના પોસ્ટર લગાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધી આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરતા પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા આવ્યા નથી તેમ કહીને DCPની ઓફિસમાં ઘૂસ્યા હતા. તેઓનું કહેવું હતું કે, પોલીસે ખોટી રીતે આપ પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે. 'આપ'ના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે: આપ શહેર પ્રમુખઆપ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં શહેરમાં કેટલાક સ્થળો પર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટરો લગાડવાના કેસમાં પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીં રજૂઆત બાદ આપના કાર્યકર્તાઓ કતારગામ પોલીસ સ્ટેશને રજૂઆત માટે ગયા હતા. પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યાસુરતમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવા બાબતે અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશાલ ચાવડા, કતારગામ પોલીસ સ્ટેશનમાં દેવશીભાઈ ઢેબરીયા અને ચિરાગના વડીયા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં કિરીટ પાનસુરીયા ઉર્ફે કે.પી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ તમામ આપના કાર્યકરો છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આવતીકાલે (2 એપ્રિલ) વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. એ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્યને લઈને નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય આહાર, કસરત અને હોમિયોપેથી સારવાર દ્વારા ઓટિઝમથી પીડાતા બાળકોના જીવનમાં મોટો સુધારો લાવી શકાય છે.આજે (1 એપ્રિલ) શહેરના નિષ્ણાત ડોક્ટરો rન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે,ઓટિઝમના 80 ટકા કેસ માત્ર યોગ્ય ડાયટ અને કસરત દ્વારા સારા કરી શકાય છે.ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવો જોઈએ20 ટકા કેસોમાં મેટાબોલિક અને જીનેટિક કારણો જવાબદાર હોય છે, જ્યાં દવાઓની જરૂર પડે છે. ડો. કેતન પટેલના જણાવ્યા મુજબ, હોમિયોપેથી દ્વારા જનીનિક અસરોને 90 ટકા સુધી નાબૂદ કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોની માર્ગદર્શિકાને બદલે ભારતે પોતાનો નવો પ્રોટોકોલ અમલી બનાવવો જોઈએ, જેમાં ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવામાં આવે.ઓટિઝમથી પીડિત બાળકોની મદદે ડોક્ટરડોક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં કેટલાક લક્ષણો દેખાય, તો તુરંત નિદાન કરાવવું. જેમ કે બાળકનું સમયસર ન બોલવું અથવા નજર ન મેળવવી, એકલું રમવાનું પસંદ કરવું અથવા કારણ વગર હસવું-રડવું, વારંવાર કૂદકા મારવા કે એક જ જગ્યાએ ગોળ ફરવું. ડૉ પટેલ અને ડો જયેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓટિઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટિક ટેસ્ટ અને તેની સાથે જોડાયેલી થેરપી પાછળ વાર્ષિક રૂ.10 લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરાઇ રહી છે.વાલીઓએ ગભરાયા વિના તબીબી સલાહ લેવીઓટિઝમની સારવારમાં GFCF ડાયટ (ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી) ખૂબ મહત્વનો છે. જેમાં દૂધ અને ઘઉંની બનાવટો બંધ કરી તેના બદલે સોયા મિલ્ક, બાજરી અને લીલા શાકભાજી આપવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સાયકલિંગ અને સ્વિમિંગ જેવી કસરતો ઝડપી સુધારો લાવે છે.વૈશ્વિક સ્તરે દર 36 માંથી 1 બાળક ઓટિઝમથી પીડિત છે, જે આંકડો કેન્સર અને ડાયાબિટીસ કરતા પણ વધારે છે. પરંતુ વહેલું નિદાન અને હોમિયોપેથી જેવી સચોટ સારવારથી આ બાળકોને સામાન્ય જીવન તરફ લાવી શકાય છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત બનીને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને મહેશ મોદી સહિત ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 14 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે બિરાજતા સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના ધામમાં આવતીકાલે 2જી એપ્રિલને ચૈત્રી પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ડભોડા ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યાઆવતીકાલે ગુરુવારે હનુમાન જયંતિના દિવસે ડભોડિયા હનુમાનજી મંદિરે મહોત્સવની ભવ્ય ઉજવણી થશે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટી પડે એવી શક્યતા છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશેઆ ઉત્સવની શરૂઆત કાલે ગુરુવારે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતીથી થશે, જેની સાથે જ પવિત્ર મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ડભોડિયા હનુમાનજીના આ ધામમાં તેલના અભિષેકનું વિશેષ મહત્વ હોવાથી સવારે 8 કલાકે તેલના અભિષેકનો સિલસિલો શરૂ થશે. હાલ મંદિર પરિસરમાં 1500થી વધુ તેલના ડબ્બા શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 2500 સુધી પહોંચવાનો અંદાજ છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશે. જન્મોત્સવના દિવસે સવારે 9 વાગ્યે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશેઆ ધાર્મિક વિધિઓ દરમિયાન મંદિર પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્વયંસેવકો તૈનાત રહેશે. આવતીકાલે જન્મોત્સવના દિવસે સવારે 9 કલાકે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાશે. ત્યારબાદ 11.45 કલાકે પરંપરાગત રીતે ધ્વજારોહણ અને બપોરે 12 કલાકે હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાશે. આ પાવન પ્રસંગે 151 કિલોની બે વિશાળ કેકનું કટિંગ બપોરે 12.20 કલાકે કરવામાં આવશે. મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરે 1.00 વાગ્યાથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરાશેમંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી રહી છે. અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વધી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને વિશાળ ભોજનશાળાને એસી બનાવવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને હાલાકી ન ભોગવવી પડે. બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ સતત ચાલુ રાખવામાં આવશે. અશક્ત શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચાડવા માટે મફત રિક્ષા સેવાની વ્યવસ્થાઆ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકશે. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે.
બોટાદ PI ખરાડીની દેવભૂમિ દ્વારકા બદલી:ટાઉન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર. ખરાડીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થતાં, બુધવાર, 01 એપ્રિલ 2026ના રોજ તેમના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. PI ખરાડીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી. આ વિદાય સમારોહમાં પોલીસ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સમારોહમાં PSI વી.સી. ભરવાડ, PSI પી.એ. પરમાર, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા, ASI ધવલભાઈ પટેલ, ASI જયેશભાઈ જાખણીયા અને ASI અરવિંદભાઈ સુવેરા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ PI ખરાડીને તેમની ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે સૌથી વધુ સમય ગુજરાતની ધરતી પર વિતાવ્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રદેશ પર તેમના વિશેષ આશીર્વાદ રહ્યા છે. આ ઉદ્ગારો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે રાજકોટ ખાતે આયોજિત એક ભવ્ય જાહેર સભામાં વ્યક્ત કર્યા હતા. 28 માર્ચ, 2026ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં સેવાકાર્યોની સુવાસસ્વામી સુહિતાનંદજીએ જણાવ્યું હતું કે વિવેકાનંદજીના આશીર્વાદને કારણે જ આજે ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને મિશનના 7 શાખા કેન્દ્રો દ્વારા અદભુત સેવાકીય પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રચારકાર્ય વેગવંતું બન્યું છે. આ પ્રસંગે રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, 90 વર્ષની જૈફ વયે પણ સ્વામી સુહિતાનંદજી વિશ્વભરમાં ભ્રમણ કરીને જ્ઞાનની જ્યોત ફેલાવી રહ્યા છે, તેમનું સાનિધ્ય મળવું એ ગુજરાતના ભક્તો માટે સૌભાગ્યની વાત છે. નૂતન ભવનની પૂર્વભૂમિકા અને સન્માનસભા દરમિયાન ગુજરાતના વિવિધ કેન્દ્રોના અધ્યક્ષ મહારાજો દ્વારા પૂજ્ય મહારાજનું પુષ્પહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ના નિર્માણની પૂર્વભૂમિકા અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આ ભવનના નિર્માણમાં પાયાનું યોગદાન આપનારા શ્રેષ્ઠીઓ અને ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 5 નવા પુસ્તકોનું વિમોચનઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પુસ્તક વિમોચન રહ્યું હતું. પૂજ્ય સ્વામી સુહિતાનંદજીના વરદ હસ્તે આધ્યાત્મિક જ્ઞાન પીરસતા 5 પુસ્તકો લોકાર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રોધ પર વિજય, યોગક્ષેમ, ઈશ્વરને ઉધાડી આંખે નિહાળો, મારું ભારત અમર ભારત. તું પરમહંસ બનીશ આ પુસ્તકોનો પરિચય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિકોએ સમૂહમાં ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે આવેલા સાયલા રોડ પર રતનપર અને છૈડા ગામ વચ્ચે એક કાર અને મોટરસાઈકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. બંને રોડ પર પટાકાયા હતા. અકસ્માત કેવી રીતે બન્યો?પ્રાપ્ત માહિતી અનુસાર, એક દંપતી પોતાની બાઈક પર જઈ રહ્યું હતું. પાળીયાદથી સાયલા તરફ જતા માર્ગ પર મોટા છૈડા ગામ નજીક એક કાર (જીજે 33 કે 2324) અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર પતિ-પત્નીએ ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. કારનો બોનેટ તરફનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે બાઈક રોડ પરથી દૂર ફેંકાયું હતું. મૃતકોની ઓળખઅકસ્માતમાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ થઈ છે: મનસુખ પાચા મીઠાપરા (રહે. પાણવી ગામ) ગીતા મનસુખ મીઠાપરા (રહે. પાણવી ગામ) પરિવારજનો દોડી ગયાઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના ભાઈ શામજી મીઠાપરાએ આ અંગે વિગતો આપી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટનાને પગલે પાણવી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર દ્વારા તમામ સપ્લાય ચેઇનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ (LPG), પાઇપ્ડ નેચરલ ગેસ (PNG), ખાદ્ય અનાજ તેમજ ખેતી માટે જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ડેપો અને વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. કોઈ પણ વસ્તુની અછત સર્જાય તેવી સ્થિતિ નથી. વિવિધ ટીમો દ્વારા બજારમાં ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ, જિલ્લા વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ અંગે નાગરિકોને સાવધ કર્યા છે. તંત્રએ અપીલ કરી છે કે વોટ્સએપ, ફેસબુક કે અન્ય માધ્યમો પર આવતા બિનસત્તાવાર મેસેજ કે 'ફેક ન્યૂઝ' પર વિશ્વાસ ન કરવો. અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાય છે અને તેઓ 'પેનિક બાઇંગ' કરવા લાગે છે, જે બજારની વ્યવસ્થા ખોરવે છે. નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ વિવેકપૂર્ણ ખરીદી કરવા વિનંતી કરાઈ છે. વહીવટી તંત્રએ અનૈતિક તત્વો અને વેપારીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વેપારી કે એકમ દ્વારા વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળાબજારી અથવા નિયત એમ.આર.પી. (MRP) કરતા વધુ કિંમત વસૂલવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગને વિશેષ તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. નાગરિકોને કોઈ મુશ્કેલી જણાય અથવા કોઈ વેપારી ગેરરીતિ કરતો હોવાનું માલૂમ પડે, તો તેની જાણ કરવા માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરત એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી 1 અને 2 મે, 2026ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક રોકાણોને પ્રોત્સાહન આપી ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવાનો છે. 16 જિલ્લાઓના વિકાસનો રોડમેપ આ કોન્ફરન્સ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, ગાંધીનગર અને પંચમહાલ જેવા મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાનું સબળ માધ્યમ બનશે. ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન VGRC દરમિયાન ખાસ કરીને કેમિકલ્સ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ગ્રીન એનર્જી જેવા પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, એરોસ્પેસ, ડિફેન્સ અને આઈટી જેવા અત્યાધુનિક ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અહીં યોજાનારા સેમિનારો નવા રોકાણકારો માટે તકોના દ્વાર ખોલશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝિબિશન કાર્યક્રમની સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE) પણ યોજાશે. જેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો દ્વારા સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણા અને રાજકોટમાં આવી કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જેમાં વિદેશી રાષ્ટ્રોએ પણ ભાગીદારી નોંધાવી હતી.
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસનની ઉજવણીના અવસરે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક) દ્વારા ખેડૂત લાભાર્થીઓના વારસદારોને અકસ્માત વીમા સહાયના ચેક અને દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે આર્થિક રક્ષણ: 11 લાખનો વીમોખેતી બેંક દ્વારા ખેડૂત પરિવારોની સુરક્ષા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. બેંકમાંથી લોન લેનાર દરેક ખેડૂત પરિવારને 11 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે, જેનું પ્રીમિયમ પણ બેંક પોતે જ ભરે છે. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે સ્વ. હેમંતજી પરમારના વારસદારને 11 લાખ તથા સ્વ. હિતેશકુમાર પટેલ અને સ્વ. ભાણાભાઈ બારૈયાના વારસદારોને 5-5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સહાય મુશ્કેલ સમયમાં મોટો આર્થિક આધાર બનશે. દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂકબેંકના માનવીય અભિગમના ભાગરૂપે, પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરનાર 5 દિવ્યાંગ કર્મચારીઓને હર્ષ સંઘવીના હસ્તે કાયમી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, જેતપુર અને મોરબી શાખામાં ફરજ બજાવે છે. નાયબ મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખેડૂત હિત માટે કટિબદ્ધતાબેંકના ચેરમેન ડોલર કોટેચાએ નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે ખેતી બેંક હંમેશા ખેડૂતોના હિત અને કર્મચારીઓના કલ્યાણ માટે કાર્યરત રહી છે. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો અને લાભાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં 2 એપ્રિલ, 2026 ને ગુરુવારના રોજ હનુમાન પ્રકોટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાશે, જેના દર્શન આખો દિવસ કરી શકાશે. સાંજે 6 વાગ્યે સુંદરકાંડ અને રાત્રે 8 વાગ્યે મહાઆરતી યોજાશે, જ્યારે આખો દિવસ ભંડારાનું આયોજન છે. ભારતનું ચોથું અનોખું મંદિર: વિશ્રામ કરતી મુદ્રા મંદિરના સ્થાપક પ્રવીણભાઈ ગર્ગના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટ, 2024 ના રોજ લોકાર્પિત આ મંદિર ભારતનું એવું ચોથું સ્થાન છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી (રેક્લીંગ) મુદ્રામાં છે. 2000 કિલો વજનની આ મૂર્તિ રાજસ્થાની પથ્થરથી બનેલી છે, જેમાં અહિરાવણ, રામ-લક્ષ્મણ અને મકરધ્વજ સાથેનું અદભુત રૂપ કંડારેલું છે. અહીં ભક્તો બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો અનુભવ કરે છે. સેવા પરમો ધર્મ: માનવતાની મહેક આ મંદિર માત્ર આસ્થાનું જ નહીં પણ સેવાનું કેન્દ્ર છે. અહીં 3 રામ રોટી સેવા રથ દ્વારા દરરોજ 500 જરૂરિયાતમંદોને ભોજન અપાય છે. દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક દવા-તપાસ, સાધુઓ માટે નિવાસ અને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ છે. પ્રવીણભાઈ ગર્ગ, કીર્તિભાઈ પટેલ, ભરતભાઈ જોષી, રાહુલભાઈ બારોટ, ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે તમામ ભક્તોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા સ્વ. રામલાલ ભોગીલાલ પરીખની 114મી જન્મજયંતિ નિમિત્તે શિશુ ગૃહ, પાલડીને મદદ કરવામાં આવી છે. આ સંસ્થા અનાથ, નિરાધાર અને તરછોડાયેલા બાળકોની સંભાળ રાખે છે. ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે બે કાર્પેટ (૯ X ૧૨ ફૂટ), નાનપ્રો મિલ્ક પાવડર, બેબી વાઇપ્સ, નવજાત શિશુ ડાયપર અને બેબી સ્ટ્રોલર જેવી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન શિશુ ગૃહના વડા રિતેશ દવે અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને શ્રીમતી નિહારિકા પરીખ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે હેમરશ્મિ દ્વારા રામનવમીના પાવન અવસરે સતત ચોથા વર્ષે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરવાસા સ્થિત પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર સુદ નોમ, રામનવમીના દિવસે સવારે 8.30 વાગ્યાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત અને વડોદરાથી આવેલા જ્ઞાતિજનોએ ચા-કોફી અને બિસ્કિટનો અલ્પાહાર લીધો હતો. સંપાદક વસંતભાઈએ સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને પસંદગીના જ્ઞાતિજનોના હસ્તે દીપપ્રાગટ્ય કરાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ, બિલીમોરા, નવસારી અને સુરતના મહિલા મંડળો દ્વારા પ્રભુ શ્રીરામના ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ભજનોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને ભક્તિમય બનાવ્યું હતું. કાલિન્દીબેન મનોજભાઈ પટેલે સૌને આવકાર્યા હતા અને હેમરશ્મિ દ્વારા બે વર્ષ પહેલાં જાહેર કરાયેલા પુસ્તક આપણા સંસ્કાર અને સંસ્થાન વિશે વાત કરી હતી. તેમણે પુસ્તકના ઉદ્દેશ્ય, પ્રકાશન પછીના અનુભવો અને પ્રભુ શ્રીરામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હેમરશ્મિના અંકોમાં આવતી માહિતીનું વિશ્લેષણ રજૂ કરી સમાચાર અને માહિતી હેમરશ્મિ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ત્યારબાદ શ્રીરામ સ્તુતિ, રામરક્ષા સ્તોત્ર અને હનુમાન ચાલીસાના સંપુટની સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેજાનંદ ધામ-ખરવાસા મંદિરમાં પ્રીતિ જિજ્ઞેશ પારેખ (નવસારી) દ્વારા પ્રભુ શ્રીરામની સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મનોજભાઈ રમણલાલ પટેલે હેમરશ્મિની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે હેમરશ્મિમાં અતૂટ વિશ્વાસ મૂકવા બદલ સૌ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સમૂહ પ્રાર્થનામાં સહાયરૂપ થનાર સૌનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, ગત વર્ષમાં દિવંગત થયેલા સૌ જ્ઞાતિજનોના આત્માની શાંતિ અને સદગતિ માટે બે મિનિટનું મૌન પાળી શાંતિ પ્રાર્થના ગાઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને બપોરે 12 વાગ્યે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની આરતીમાં ભાગ લઈ જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. પ્રભુ શ્રીરામના આશીર્વાદરૂપ માલપુડા અને દૂધપાકનો મહાપ્રસાદ ગ્રહણ કરી સૌ ફરી મળવાના સંદેશ સાથે છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા અને મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અન્નકૂટ એટલે અન્નનો પર્વત. તેમણે ઉમેર્યું કે તન, મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્નકૂટ ધરાવવાની પરંપરા દ્વાપરયુગથી ચાલી આવે છે. વર્તમાન સમયમાં મંદિરોમાં નૂતન વર્ષે અને મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ એ ભક્તોના હૃદયના ભાવ અને સમર્પણનું પ્રતિક છે. કુમકુમ મંદિર ખાતે અન્નકૂટમાં વિવિધ પકવાન અને ફરસાણો મહિલાઓએ પોતાના હાથે મંદિરમાં આવીને તૈયાર કર્યા હતા. ભગવાનની પાસે થાળમાં ગોઠવવાની સેવા સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોએ કરી હતી. આવા ઉત્સવો ઉજવવાથી ભગવાન સાથે જોડાણ થાય છે અને સમૈયા-ઉત્સવમાં સેવા કરવી જોઈએ.
અમદાવાદના જુહાપુરા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આયોજિત પેપર ચેકિંગ એસેસમેન્ટ સેન્ટર ખાતે શિક્ષક અજય કુમાર ઝાનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ તેમની શિક્ષણ ક્ષેત્રની લાંબી સેવાઓ અને આગામી નિવૃત્તિ પૂર્વે યોજાયો હતો. અજય કુમાર ઝા સાબરમતી વિસ્તારની સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે સમીક્ષક તરીકે પણ સેવાઓ આપે છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક યોગદાન આપ્યું છે અને વિદ્યાર્થીઓ તથા સહકર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ સન્માન સમારોહ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં તેમની નિવૃત્તિ પૂર્વે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા તેમની નોંધપાત્ર અને લાંબી સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત શિક્ષકો અને સ્ટાફ દ્વારા શિક્ષક ઝાને સ્વસ્થ, સુખમય અને સફળ નિવૃત્તિ જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેન્દ્રમાં મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષકો અને સ્ટાફના સહકારથી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ 500 વિદ્યાર્થીઓમાંથી 420 વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ (દિલ્હી) ડૉક્ટર અનિલભાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલ 26 જેટલા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો એક સરખા પહેરવેશમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબા, નાટક, એકપાત્ર અભિનય, લીલીપુટ ડાન્સ અને નાના ભૂલકાઓના ફની ડાન્સ જેવા વિવિધ પ્રદર્શનનો સમાવેશ થતો હતો, જેની અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 5 માં જ્ઞાનસેતુ અને ધોરણ 8 માં જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ સરપંચશ્રીઓ અને ગામની વિવિધ સંસ્થાઓના પ્રમુખોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગોતાલાવાડીની શાળા નંબર 118 માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના અધ્યક્ષ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, આખા વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક અભ્યાસ, રમતગમત, કલા અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના અભ્યાસ માટે માર્ગદર્શન વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સમારોહમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષભરની પ્રગતિ અને સિદ્ધિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને શાળા, શિક્ષકો તેમજ વાલીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને શ્રેષ્ઠતાની ભાવના વિકસાવી, જેથી તેઓ આવતા વર્ષે પણ આવા સન્માન પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવા પ્રેરાય.
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી પાસે કન્સ્ટ્રક્શન સાઈટમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી સોસાયટી પાસેની કન્સ્ટ્રક્શન સાઈટના વોચમેન સંદીપ ગાવડે દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી કે સાઇટ પર મગર દેખાયો છે. માહિતી મળતા જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં આશરે 8 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે કાબૂમાં લઈને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. બાદમાં મગરને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર એ જણાવ્યું હતું કે, બાજુમાં આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતા મગરો તળાવમાંથી બહાર આવી રહ્યા છે. હું સરકારને અપીલ કરું છું કે ઝડપથી તળાવમાં રહેલા મગરોને બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવામાં કરવામાં આવે. કારણકે આવું નહીં થાય તો આસપાસના લોકો ભયમાં રહે છે અને તેમના જીવનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
ગોતાલાવાડી સ્થિત શાળા નંબર 120 માં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા અને ઉપાધ્યક્ષ રંજનાબેન ગૌસ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને બિરદાવવાનો હતો. આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરબા અને નૃત્ય જેવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક, રમતગમત, કલા અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા વર્ષભરની પ્રગતિ અને સિદ્ધિઓનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને શાળા, શિક્ષકો તેમજ વાલીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું, જેણે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને શ્રેષ્ઠતાની ભાવના વિકસાવી હતી.
વિશ્વમાં હાલ ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિ નિમિત્તે, વિશ્વ શાંતિ માટે અમદાવાદ ખાતે વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમ શ્રી શ્રી જ્ઞાનમંદિર, શિવરંજની વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમ વિશ્વ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત છે, જે માનસિક શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને સામાજિક સુખાકારી માટે સતત કાર્યરત છે. સુંદરકાંડ પાઠ હનુમાનજીની ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનું પ્રતિક છે. વર્તમાન વૈશ્વિક તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે, આ પાઠ દ્વારા વિશ્વમાં શાંતિ, સકારાત્મકતા અને માનવતા માટે પ્રાર્થના કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ અવસર પર શહેરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહીને આ પવિત્ર કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા 500થી વધુને કપડાં વિતરણ:મેલાસણા અને આસપાસના ગામોમાં નિશુલ્ક કપડાં અપાયા
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જિલ્લાના મેલાસણા અને આસપાસના ગામોમાં 500થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિશુલ્ક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ, નવા શર્ટ, નવી સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ અને માર્કંડભાઈએ આ વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમનું સંકલન ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર GST વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. લેબર કોડ સામે મજદૂર સંગઠનોનો મોરચોસુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા ચાર લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ 'નવા લેબર કોડ પાછા ખેંચો'ના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગવિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે, કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. ટેક્સટાઇલ પર GST વધારાથી ઉદ્યોગ જગતમાં રોષબીજી તરફ, સુરત ટેક્સટાઇલ યુનાઈટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલના સેક્રેટરી જયમીન દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેક્સટાઇલ પરનો જીએસટી થી વધારીને કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અત્યંત નુકસાનકારક છે અને ઉદ્યોગના હિતમાં નથી. નાના વેપારીઓ અને ગ્રાહકો પર આર્થિક બોજટેક્સટાઇલ કાઉન્સિલના મતે, જીએસટીમાં આ વધારાથી સીધી અસર નાના વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો પર પડશે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો લોકોની આજીવિકાનું સાધન છે, ત્યારે આર્થિક બોજ વધતા આખા ઉદ્યોગનું માળખું ખોરવાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાવાની પણ શક્યતા છે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આંદોલનની ચીમકીઆ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું. જયમીન દેસાઈએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદાર વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે.
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે (2 એપ્રિલ) ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા આજે (1 એપ્રિલ) રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ પરથી દાવેદારી માટેના ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં ફોર્મ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશેફોર્મ વિતરણ બાદ હવે પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. 2 અને 3 એપ્રિલના રોજ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવશે. આવતીકાલે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયાપક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે એટલે કે 2 એપ્રિલના રોજ વોર્ડ નંબર 1 થી 6ના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. જ્યારે બીજા દિવસે, 3 એપ્રિલના રોજ વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા બાદ મજબૂત અને જીતી શકે તેવા દાવેદારના નામની પેનલ બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. મનપાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોવા મળી રહેલી આ ભીડ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
અકસ્માત સહાય યોજનાની રકમ દોઢ લાખ કરાઈ:હિંમતનગર GMERS સિવિલે 119 દર્દી રજિસ્ટર કર્યા
રાજ્ય સરકારે અકસ્માત સહાય યોજના હેઠળની રકમ રૂપિયા 50,000 થી વધારીને રૂપિયા 1.50 લાખ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઝડપી અને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવાનો છે. હિંમતનગરની GMERS જનરલ સિવિલ હોસ્પિટલમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ તબીબોને આ યોજના અંગે તાલીમ આપવામાં આવી હતી. હિંમતનગર GMERS જનરલ સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, આ નવી યોજના 'PMJAY રાહત ફંડ' ના નામે શરૂ કરવામાં આવી છે. તે અકસ્માતગ્રસ્ત દર્દીઓને 48 કલાકમાં ઝડપી અને નિ:શુલ્ક સારવાર સુનિશ્ચિત કરે છે. આ યોજના 7 માર્ચથી અમલમાં આવી હતી. 7 માર્ચથી 31 માર્ચ દરમિયાન, હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહનો દ્વારા લાવવામાં આવેલા કુલ 119 અકસ્માતગ્રસ્ત દર્દીઓને રજિસ્ટર કરવામાં આવ્યા છે. ડૉ. જાનીના મતે, ગુજરાતમાં અકસ્માત સહાય યોજના હેઠળ સૌથી વધુ દર્દીઓનું રજિસ્ટ્રેશન કરીને હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ પ્રથમ સ્થાને છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે ફક્ત તેનું સાચું સરનામું અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે. આ માહિતી પોલીસ દ્વારા સ્થળની ઝડપી ચકાસણી અને 48 કલાકમાં સમસ્યાના નિરાકરણમાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ મળતું ફંડ સીધું હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે, જેનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે.
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં મુસાફરોની ભારે ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરતના ઉધના રેલવે સ્ટેશનથી સુબેદારગંજ અને આગ્રા કેન્ટ માટે દોડતી ખાસ ટ્રેનોના સમયગાળામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશ તરફ જતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ઉધના-સુબેદારગંજ સ્પેશિયલના 60 ફેરાપશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 04156 ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ હવે 3 એપ્રિલ, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. વળતી દિશામાં ટ્રેન નં. 04155 સુબેદારગંજ-ઉધના સ્પેશિયલ 2 એપ્રિલ, 2026 થી 13 જુલાઈ, 2026 સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 60 ટ્રિપ્સ પૂર્ણ કરશે, જે ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોનો ધસારો ઓછો કરવામાં મદદરૂપ થશે. આગ્રા કેન્ટ સાપ્તાહિક ટ્રેનના સમયમાં ફેરફારઆ ઉપરાંત, ટ્રેન નં. 01908 ઉધના - આગ્રા કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલનો સમય 8 એપ્રિલ, 2026 થી 15 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01907 આગ્રા કેન્ટ - ઉધના સ્પેશિયલ 7 એપ્રિલ, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી દોડશે. આ ટ્રેન શ્રેણી હેઠળ કુલ 30 ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. બુકિંગ અને અન્ય વિગતોટ્રેન નંબર 04156 માટે બુકિંગ હાલમાં ખુલ્લું છે, જ્યારે ટ્રેન નંબર 01908 માટે બુકિંગ 1 એપ્રિલ, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની વિગતો માટે www.enquiry.indianrail.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકે છે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકો અને પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશરે 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ નવીન કચેરી ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નૂતન ભવનને આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરાયું છે. તેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાઇકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી અંદાજિત 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધાઓ તેમજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેનાથી જિલ્લાવાસીઓને વધુ સગવડપૂર્ણ અને ઝડપી વહીવટી સેવાઓ મળશે. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને તેમના વહીવટી કામોમાં સરળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ ભવનનું આયોજન આધુનિકતા અને ટેકનોલોજી સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપીને કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંપૂર્ણ ભવનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તમામ માપદંડોનું પાલન થશે. નવી કચેરીમાં દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત નાગરિકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે. આ કલેક્ટર કચેરી ભવન બન્યા બાદ જિલ્લાના નાગરિકોને એક સુવ્યવસ્થિત, ટેક્નોલોજી આધારિત અને સુલભ વહીવટી કેન્દ્ર મળશે, જેનાથી સરકારી સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બની શકશે.
સુરત શહેરના કોસમાડા વિસ્તારમાં આવેલા G.B. ગ્રાઉન્ડ ખાતે રમતગમતની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. સમસ્ત ભુતિયાગામ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ “ભુતિયાગામ પ્રિમિયર લીગ – BGPL-1” એ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, પરંતુ 'મેચ જીતીને મન જીતીશું'ના મંત્રને સાર્થક કરતો એક સામાજિક ઉત્સવ બની રહ્યો છે. રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ આ ટુર્નામેન્ટની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિત સુરતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિશેષ આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા. આ પ્રસંગે ખેલદિલીની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સાયબર જાગૃતિના પોસ્ટરો લગાવીને લોકોને ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. રમતગમત સાથે રક્તદાનનો સેવા યજ્ઞ BGPL-1 ટુર્નામેન્ટમાં રમતની સાથોસાથ માનવતાનું પણ દર્શન થયું છે. 'જીવનજયોત બ્લડ બેંક'ના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય દાતા સ્વ. વિમળાબેન મનસુખભાઈ મેંદપરા પરિવારના મનસુખભાઈ અને વિપુલભાઈ મેંદપરા છે. આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભુતિયા ગામના યુવાનોની છુપાયેલી પ્રતિભાને મંચ પૂરું પાડવાનો અને સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવાનો છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નોંધનીય છે કે, આ ટુર્નામેન્ટ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવાઈ રહી છે. આયોજક અને યુવા પ્રોત્સાહન કમિટીએ તમામ ખેલપ્રેમી જનતાને સહપરિવાર આ મેચો નિહાળવા અને યુવાનોને પ્રોત્સાહિત કરવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
પુત્રના નિધન પર પિતાનો પરોપકારી નિર્ણય:ભાવનગરના 22 વર્ષીય હિરેનનું અંગદાન, 3 લોકોના જીવ બચ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંવેદના અને સેવાના સંગમ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક પિતાએ પોતાના 22 વર્ષીય યુવાન પુત્રને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અન્ય ત્રણ વ્યક્તિઓને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય લીધો છે. હિરેન પ્રવીણભાઈ કંટારીયાના આ અંગદાનથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અકસ્માતથી બ્રેઇનડેડ સુધીની સફરમૂળ ભાવનગરના હિરેન કંટારીયાને 27 માર્ચ, 2026ના રોજ બાઈક અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે 28 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થયો અને 30 માર્ચે તબીબોએ તેમને 'બ્રેઇનડેડ' જાહેર કર્યા હતા. પિતાની સંમતિ અને તબીબોનું માર્ગદર્શનઆ કપરા સમયે હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈ અને ડૉ. મોહિત ચંપાવતે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. જુવાનજોધ દીકરાને ગુમાવવાની પીડા હોવા છતાં, પિતા પ્રવીણભાઈએ હિંમત દાખવી અંગદાન માટે સંમતિ આપી. આ નિર્ણયને પગલે હિરેનનું એક લીવર અને બે કિડની સફળતાપૂર્વક મેળવવામાં આવ્યા, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિમેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સિવિલ હોસ્પિટલનું 233મું અંગદાન છે. અત્યાર સુધીમાં અહીં કુલ 770 અંગો અને 192 ચક્ષુઓનું દાન પ્રાપ્ત થયું છે, જે અનેક પરિવારોમાં ખુશીઓ લાવવાનું માધ્યમ બન્યું છે.
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં યોજાયેલ બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યાં છે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'ભાવ કમલમ્ ' ઉપર પ્રદેશ નિરીક્ષકો પ્રદીપ પરમાર પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર, મહેશ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ, આણંદ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રદેશ મંત્રી, બક્ષીપંચ મોરચો અને પાલિતાણામાં નિરીક્ષકો દિનેશ મકવાણા સાંસદ, અમદાવાદ પશ્ચિમ, નિમાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી, મહિલા મોરચો તથા પૌરવ પટેલ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, યુવા મોરચો રહ્યા છે. જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના જણાવ્યું હતું કે, આ બે દિવસો બુધવાર અને ગુરુવાર દરમિયાન જિલ્લા પંચાયતની 40 બેઠકો અને જિલ્લાની 10 તાલુકા પંચાયતોની બેઠકો સાથે નગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, આ સેન્સ પ્રક્રિયા સવારથી સાંજ સુધી ચાલશે, પ્રથમ દિવસે ભાવનગરમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા ગ્રામ્ય, ઉમરાળા ગ્રામ્ય તથા તળાજા ગ્રામ્ય રહેલ અને પાલિતાણામાં પાલિતાણા ગ્રામ્ય,જેસર ગ્રામ્ય તથા મહુવા ગ્રામ્ય ના દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બીજા દિવસે ગુરુવારે ભાવનગરમાં વલભીપુર ગ્રામ્ય, સિહોર ગ્રામ્ય તથા વલભીપુર શહેર રહેશે અને પાલિતાણામાં ગારિયાધાર ગ્રામ્ય, મહુવા શહેર તથા પાલિતાણા શહેર રહેશે.
32 દિવસ પૂર્વે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, તેના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. દૈનિક 5થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાના થતાં છેલ્લા 30 જ દિવસમાં સુરતનાં વિવિધ ઉદ્યોગમાંથી કમસેકમ દોઢ લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતન ભેગા થઈ ચૂક્યા છે. સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં નાનું કારખાનું હોય કે મોટી મિલ હોય 40થી 45 ટકા સુધી કામદારોની અછત વર્તાઈ રહી છે. કારખાનાઓમાં કામદારોનાં અભાવે હવે રાતપાળીનું ઉત્પાદન સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયોમિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સૌથી ઘેરી અસર સુરતના ટેક્સ્ટાઈલ સાથે સંકળાયેલા ઉદ્યોગ પર પડી છે અને હવે આ અસરો એટલી ઉત્પાદન તબક્કાવાર બંધ થવા તરફ છે. જાણકારોનાં જણાવ્યા મુજબ 28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધની પહેલી અસર એક સપ્તાહ પછી વર્તાવા માંડી હતી. ગેસના સિલિન્ડર મળવામાં મુશ્કેલી ઉભી થતાં પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયો હતો. દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારોની વતન જાય છેજોતજોતામાં ગેસ સિલિન્ડર કે જે 70થી 80 રૂપિયે કિલોમાં રીફિલ થઈ જતા હતા, તેના 700થી 900 રૂપિયા આપવાના શરૂ થતાં કામદારોએ વતન વાપરી શરૂ કરી હતી. છેલ્લા 30 દિવસ દરમિયાન દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારો ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તિલંગાણા ભણી રવાના થયા હતા. છેલ્લા એક મહિનાથી રોજ બરોજ ઉધના રેલવે સ્ટેશન પર લાઇનો લાગી રહી છે. લેબરની શોર્ટેજના કારણે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં લેબરની ભારે શોર્ટેજ છે અને તેમના સહિત સેંકડો કારખાનાઓમાં કામદારોના અભાવે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ થઈ ચૂક્યું છે. એવી જ રીતે સચિન, પાંડેસરા, પલસાણા જેવા વિસ્તારોમાં આવેલી મિલોમાં સપ્તાહમાં બે દિવસ ઉત્પાદન કાપ છે અને કારખાનાઓમાં પણ લેબર શોર્ટેજને કારણે બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવા છતાં પણ કારખાનાઓ વધુ સમય માટે બંધ રાખવાની ફરજ પડી રહી છે. કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયુંલેબરને કારણે નાઈટ શીફ્ટ બિલકુલ બંધ છે અને લેબર હવે 15મી એપ્રિલ પહેલા પરત આવે તેવી શક્યતા દેખાતી નથી. યાર્ન સહિતના રો-મટીરિયલનાં ભાવ વધી ગયા છે અને બીજી તરફ મિલોમાં બે સાપ્તાહિક રજા અને પ્રોસેસિંગ ચાર્જમાં વધારાને કારણે હાલ તુરત વેપારીઓને પણ ગ્રે ખરીદવામાં કોઈ ઉત્સાહ નથી. આવી સ્થિતિમાં કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયું છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયોલેબર કોન્ટ્રાક્ટરોનાં જણાવ્યા અનુસાર, વીવિંગ કારખાનાઓ અને મિલોમાં બે દિવસનાં ઉત્પાદન કાપનો નિર્ણય લેવાયો તે પહેલા 50 હજાર જેટલા કામદારો વતન પહોંચી ચૂક્યા છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયો હતો. કેમ કે ઉત્પાદન જ નહીં થાય તો રોજગારી ઓછી થશે એના કરતા તો વતનમાં ખેતી કે મજૂરીથી સારુ કમાઇ લેવાશે, એ ગણતરીએ દિનપ્રતિદિન કામદારોની વતન વાપસી થવા માંડી હતી. યુપી, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોમાંથી સુરત આવતી ટ્રેનોમાં મુસાફરો પાછા આવી રહ્યા છે પરંતુ, જેટલા વતનમાં ગયા હોય તેના કરતા ઓછા પરત આવે છે. હોળી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુરત પરત ફર્યા નથીલેબર કોન્ટ્રાક્ટરો જણાવે છે કે, હોળી ધૂળેટીનાં પર્વની ઉજવણી માટે સુરતમાંથી અઢી લાખ જેટલા શ્રમજીવી કામદારો વતનમાં પહોંચ્યા હતા. એ સમયે યુદ્ધ કે સિલિન્ડરની અછત જેવા કોઇ પ્રશ્ન ન હતાં. હોળી ધૂળેટી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી અને એ પછી યુદ્ધને કારણે ઉદભવેલી પરિસ્થિતિમાં હજારો કામદારોની વતન વાપસી થઈ છે, જેના કારણે સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં હવે 40થી 45 ટકા લેબર શોર્ટેજ વર્તાવાની શરૂ થઇ ચૂકી છે.
ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓના કપડા, બેગ પર રિફ્લેક્ટર લગાવ્યાસામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અથવા મોડી રાત્રિના સમયે પદયાત્રા કરતા હોય છે. રાત્રિના અંધકારમાં વાહનચાલકોને આ પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાતા નથીબજેને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ જોખમને નિવારવા માટે સાંથલ પોલીસ દ્વારા યાત્રાળુઓના કપડાં અને બેગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ રિફ્લેક્ટર વાહનની લાઈટ પડતા જ તેજસ્વી રીતે ચમકે છે.જેનાથી વાહનચાલકો દૂરથી જ યાત્રાળુઓની હાજરી જાણી શકે છે અને અકસ્માતની સંભાવના ઘટાડી શકાય છે. પોલીસે પદયાત્રીઓને માર્ગદર્શન આપ્યુંઆ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોલીસ અધિકારીઓએ યાત્રાળુઓને માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. યાત્રાળુઓને હંમેશા રોડની ડાબી બાજુ ચાલવા, જૂથમાં ચાલતી વખતે શિસ્ત જાળવવા અને પૂરઝડપે આવતા વાહનોથી સાવધ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પોલીસના આ માનવીય ચહેરા અને સુરક્ષાલક્ષી કામગીરીની પદયાત્રીઓમાં ભારે પ્રશંસા થઈ રહી છે. 'નાના પગલાં, મોટી સુરક્ષા'ના સૂત્રને સાર્થક કરતા સાંથલ પોલીસના આ પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ લોકહિત માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવવાનો ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય આર.સી. પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારમાં આવતા નવસારી મહાનગરપાલિકાના વિજલપોર વિસ્તારના પાંચ વોર્ડમાં સંગઠન દ્વારા પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, અત્યાર સુધી અમે વિજલપોરના પાંચેય વોર્ડ જીતતા આવ્યા છીએ, પરંતુ હાલમાં જે પ્રકારે ‘વ્હાલા-દવલા’ની નીતિ ચાલી રહી છે, તે જોતા ભવિષ્યમાં શું થશે તે કહી શકાય તેમ નથી. નોંધનીય છે કે, અગાઉ જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં સંગઠન સ્તરે અન્યાય થતો હોવાની લાગણી સાથે સમગ્ર તાલુકા સંગઠને સામૂહિક રાજીનામું ધરી દીધું હતું. આ વિવાદ બાદ ભાજપ દ્વારા જલાલપોર તાલુકામાં નવા સંગઠનની રચના કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યની તાજી નારાજગી દર્શાવે છે કે સ્થિતિ હજુ થાળે પડી નથી. ધારાસભ્ય આર.સી. પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જલાલપોર અને વિજલપોર વિસ્તારમાં ટિકિટ વહેંચણી વખતે પક્ષમાં મોટા વિવાદો સર્જાઈ શકે છે. એકતરફ ભાજપ શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કદાવર નેતાના આક્ષેપોએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે.
જૂનાગઢ જીઆઈડીસી-2 તરફ જતા રસ્તાઓની અત્યંત બિસ્માર હાલતને લઈને છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગકારો અને કારખાનેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, આખરે ઉદ્યોગકારોએ એકઠા થઈને વિરોધ વિના વિકાસ મળે નહીં તે વાત સાબિત કરી બતાવી છે. રસ્તાઓની બીમાર હાલતથી કંટાળીને ગઈકાલે મોટી સંખ્યામાં કારખાનેદારોએ એકત્ર થઈ જીઆઈડીસી ગેટ નજીક આવેલા પુલના ડાયવર્ઝનને બંધ કરવાની અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ આક્રમક તેવરને જોઈ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. જીઆઈડીસી-2 ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે અમારા રસ્તાના પ્રશ્નો બાબતે અમે આજે ' રસ્તાનું ડ્રાઇવર્ઝન કાઢી આંદોલન' કરવાના હતા. અમે તમામ ઉદ્યોગકારો ગેટ નંબર-2 પાસે એકઠા થયા હતા.જોકે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આજથી જ રોડનું કામ શરૂ કરાવી દીધું છે. મેયરે અમને લેખિતમાં બાંહેધરી આપી છે કે આગામી 25 થી 30 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ મામલે ગટર લાઈનનો પણ એક વિવાદ સામે આવ્યો હતો. પરેશભાઈએ જણાવ્યું કે દોલતપરા ગામની ભૂગર્ભ ગટરની લાઈન જીઆઈડીસીના રસ્તા તોડીને નાખવાનો આગ્રહ કોર્પોરેટર દ્વારા રાખવામાં આવ્યો હતો, જે માંગણી સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર નીલેશભાઈ પીઠીયા અને સુભાષભાઈ રાદડિયાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. નીલેશભાઈએ જણાવ્યું કે ગઈકાલથી જ રોડનું કામ શરૂ કરાયું છે. ગટરના કામ વગર રોડ નહીં બને એવી વાતો માત્ર ગેરસમજ હતી. અમારો હેતુ માત્ર એટલો જ હતો કે રોડ બન્યા પછી તેને તોડીને ગટર નાખવી ન પડે, જેથી સરકારી મિલકતને નુકસાન ન થાય. પરંતુ હવે સુખદ સમાધાન થઈ ગયું છે અને 20 થી 25 દિવસમાં નવા રોડ તૈયાર થઈ જશે. જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે આશરે છ થી આઠ મહિના પહેલા જીઆઈડીસી-2 વિસ્તારમાં બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્રાફિક માટે વૈકલ્પિક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જે સતત વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાને લઈ અમે તાત્કાલિક નવીનીકરણનું કામ શરૂ કરાવ્યું છે. ઉદ્યોગકારો અને વેપારીઓને માલસામાનની હેરફેર માટે પડતી મુશ્કેલીઓ 25 દિવસમાં દૂર કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ પરથી સાબિત થયું છે કે જ્યારે જનતા કે ઉદ્યોગકારો એકજૂથ થઈને પોતાના અધિકાર માટે લડે છે, ત્યારે તંત્રને નમવું પડે છે. મેયર દ્વારા રોડનું કામ શરૂ થતા અને લેખિત ખાતરી મળતા વેપારી મંડળે પોતાનું ચક્કાજામનું આંદોલન સમેટી લીધું છે. હવે આગામી એક મહિનામાં જીઆઈડીસીના ઉદ્યોગકારોને બિસ્માર રસ્તાઓથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે.
અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક મોડી રાત્રે અમરેલી શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અને પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ બેઠકમાં અમરેલી શહેરના તમામ હોદ્દેદારો, મંડળ સ્તરના જિલ્લાના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા અને ચૂંટણી લડેલા પ્રતિનિધિઓ, વિવિધ સેલ અને શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા ચૂંટણીમાં ફરીથી કમળ ખીલવવા માટે રણનીતિ ઘડવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો. ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતૈયા અને મયુર માંજરીયા સહિતના અગ્રણીઓએ નાગરિકો સુધી વિકાસના કાર્યો પહોંચાડવા અને ચૂંટણી લડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
LIVE: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત
PRESS TV And Social Media
બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુર સ્થિત BAPS મંદિરે બરવાળા અને રાણપુર તાલુકા માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધૃવ, ભીવીશા પટેલ અને નરેન્દ્ર પુરોહિત હાજર રહ્યા હતા. તેમણે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમની સેન્સ લીધી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ દાવેદારોમાં યુવા કાર્યકરોથી માંડીને અનુભવી નેતાઓનો સમાવેશ થાય છે. રાણપુર અને બરવાળા તાલુકા હેઠળ આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો મોટો ધસારો જોવા મળ્યો છે. આ સ્થિતિ આગામી ચૂંટણીઓમાં કટોકટીભર્યા રાજકીય માહોલનો સંકેત આપે છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આ સેન્સ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પક્ષ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કાલોલ 'આપ' પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા:પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) ના કાલોલ વિધાનસભાના પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા છે. ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેઓ બેફામ ગાડી હંકારતા પકડાયા હતા. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સંજીવની હોસ્પિટલ પાછળના ભાગે એક ફોર વ્હીલર ગાડી ગફલતભરી રીતે પસાર થઈ રહી હતી. પોલીસે શંકાના આધારે ગાડી અટકાવી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. ઝડપાયેલ વ્યક્તિની ઓળખ રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી તરીકે થઈ છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામની વચલી શેરીના રહેવાસી છે. કાલોલ પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે તેમનું વાહન જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. એક રાજકીય હોદ્દેદાર નશાની હાલતમાં ઝડપાતા સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ જાગી છે.
આગરાકેંટ-અસારવા સ્પેશિયલ ટ્રેન પાંચ દિવસ લંબાવાઈ:NWR દ્વારા સમય અને સ્ટેશન પર રોકાણ યથાવત રખાયું
NWR (ઉત્તર પશ્ચિમ રેલવે) દ્વારા આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવાને વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી છે. આ નિર્ણય મૂળ સેવા અવધિ પૂર્ણ થયા બાદ લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01919/01920 આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવા હવે કુલ પાંચ ટ્રીપ માટે ચાલશે. આગરાકેંટથી આ ટ્રેન 1 એપ્રિલ 2026થી 5 એપ્રિલ 2026 સુધી પાંચ ટ્રીપ કરશે. જ્યારે અસારવાથી આ સેવા 2 એપ્રિલ 2026થી 6 એપ્રિલ 2026 સુધી પાંચ ટ્રીપ માટે ઉપલબ્ધ રહેશે. આ રેલ સેવાના સંચાલન સમય અને સ્ટેશનો પર રોકાણમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ અંગેની જાણકારી NWR દ્વારા X (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવી છે.
શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી, ભાવનગરનું હૃદય ગણાતા ગંગાજળિયા તળાવમાં લાંબા સમયથી જામી ગયેલી ગંદકીના થર જોઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, તળાવની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરી જવાબદારોને નોટિસ પાઠવવામાં આવશે, તળાવની ફરતે પેવર બ્લોક લગાવવાની કામગીરી અને અન્ય જરૂરી આધુનિક ફેરફારો કરવામાં આવશે. જેથી લોકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી આ સ્થળને એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ ખુલ્લું કરાવાશે રૂપમ ચોક પાસે આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં ગંદકીના સામ્રાજ્ય અને દબાણોને પગલે કડક સૂચનાઓ આપી નોટિસ પાઠવવામાં આવશે, બિઝનેસ સેન્ટરમાં બે ફ્લોરનું પાર્કિંગ હોવા છતાં વાહનો રોડ પર ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, આ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લું કરાવવા માટે આજે જ નોટિસ ફટકારવામાં આવશે, જેથી રોડ પર થતો ટ્રાફિક જામ હળવો થઈ શકે, મહિલા બાગ વિસ્તારમાં થતા કચરાના નિકાલ અંગે પણ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે ત્યાં જમા થયેલો કચરો તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથ પર રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડી રસ્તો ખુલ્લો કરવાના આદેશો આપવામાં આવ્યા છે, શહેરમાં ક્યાં શું સમસ્યા છે તે જાણવા અમે નિયમિત રીતે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. બોરતળાવ હોય કે પીલગાર્ડન, દરેક જાહેર સ્થળને લોકો માટે સુવિધાજનક અને સ્વચ્છ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે તેમ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે.મીનાએ માહિતી આપી હતી.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની જગવિખ્યાત કેસર કેરીની આવક વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. સિઝનની શરૂઆતમાં જ કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના ભાવ 1,000થી લઈને 1,700 સુધી બોલાયા છે. જોકે, આ આંકડાઓ પાછળ ખેડૂતો અને ઇજારેદારોની વેદના છુપાયેલી છે. આ વર્ષે વાતાવરણમાં આવેલા અચાનક પલટા, કમોસમી વરસાદ અને આંબામાં ફેલાયેલા રોગચાળાને કારણે કેરીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવસેને દિવસે આવક ઘટતી જતી હોવાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે કમોસમી વરસાદ, માવઠું અને રોગ આવવાના કારણે હવે બગીચા રાખનારા ઇજારેદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં રાતા પાણીએ રોવાનો વારોબજારના ગણિત મુજબ, જો આવનારા દિવસોમાં આવક વધશે તો જ ભાવમાં ઘટાડો થશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જો આવક ઓછી રહેશે તો ભાવ હજુ પણ ઊંચા જવાની પૂરેપૂરી શક્યતા છે. કુદરતની કારમી થપાટે હાલ ઇજારેદારોને હેરાન-પરેશાન કરી દીધા છે. આખું વર્ષ આંબાની માવજત કરવા છતાં, અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં ઇજારેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં કેરીના સ્વાદરસિકો માટે માઠા સમાચાર એ છે કે, આ વર્ષે કેસર કેરી માત્ર મોડી જ નહીં, પણ ઘણી મોંઘી પણ મળશે. 'જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે'જગદીશભાઈ ગોંડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 10 કિલોના બોક્સના 1,700થી 1,800 જેવો ભાવ મળતો હતો, જેની સામે અત્યારે 1,200થી 1,500 મળી રહ્યા છે. જો આ પરિસ્થિતિ રહી તો ખેડૂતો કંટાળીને આંબા કાપી નાખશે અને ઇજારેદારોએ અન્ય ખેતી તરફ વળવું પડશે. અમે સાતથી આઠ વખત દવાનો છંટકાવ કરીએ છીએ, પૂરતું પાણી આપીએ છીએ, પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જે કેરી તૈયાર થઈ હોય તે ખરી પડે છે. જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે. આ પરિસ્થિતિમાં સ્વાદરસિકોને મોંઘી અને મોળી કેરી ખાવી પડશે. સ્વાદ રસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળેગીર પંથકમાં આંબાનો બગીચો રાખતા અનુભવી ઇજારેદાર વેડશીભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી આંબાનો બગીચો ઇજારા પર રાખું છું. આજે હું અહીં અંદાજે 80 જેટલા બોક્સ કેરી લઈને આવ્યો છું. હાલ બજારમાં 10 કિલો કેરીના ભાવ 1,000થી 1,500 સુધી મળી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે જેટલી કેરી ઉતરે છે તેટલી આ વર્ષે આંબા પર દેખાતી નથી. આ વર્ષે આંબામાં ખૂબ જ રોગચાળો આવ્યો છે, જેને કારણે ઉત્પાદન ઘટ્યું છે. કમોસમી વરસાદ અને રોગના કારણે અમને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. સ્વાદરસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળે, કારણ કે ઓછી આવકના લીધે ભાવ ઊંચા જ રહેવાના છે. ખેડૂતોની જેમ ઈજારેદારોને પણ સરકાર સહાય આપે તેવી માગઇજારેદારોનું કહેવું છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે નુકસાનનો આંકડો મોટો હશે. જ્યારે કોઈ ઇજારેદાર ખેડૂત પાસેથી આંબાનો બગીચો રાખે છે, ત્યારે તેણે 50 ટકા રકમ એડવાન્સ પેટે ચૂકવવી પડે છે. કમોસમી વરસાદ અને માવઠાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડે છે, જે સીધું નુકસાન ઇજારેદારોના ફાળે જાય છે. બાર મહિના સુધી મોંઘી દવાઓ અને ખાતર આપીને આંબાની માવજત કરવામાં આવે છે છતાં કુદરત સાથ નથી આપતી. ઇજારેદારોની માગ છે કે સરકાર તેમને પણ પૂરતી મદદ કરે, કારણ કે ખેડૂતોને ઘણીવાર સહાય મળે છે પણ ઇજારેદારોને માત્ર નુકસાન જ વેઠવું પડે છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયાહરેશભાઈ ગજેરાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં કેરીના શ્રી ગણેશ તારીખ 22 માર્ચ, 2026થી થયા છે. શરૂઆતના દિવસે માત્ર 58 બોક્સની આવક થઈ હતી, જ્યારે આજે 800થી વધુ બોક્સ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,200 જેટલા બોક્સ આવ્યા છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયા છે. એટલે કે 10 કિલોના ભાવ 500થી 2,000 સુધી રહ્યા છે. 'દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું રહેશે'માર્કેટિંગ યાર્ડના વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, આજે યાર્ડમાં 800થી વધુ બોક્સ આવ્યા છે અને 10 કિલોના ભાવ 900થી 1,500 વચ્ચે રહ્યા છે. ભાવનો સંપૂર્ણ આધાર આવક પર રહેશે. જો આવક વધશે તો ભાવ ઘટશે, પણ હાલ તો ઘટાડો થવાની શક્યતા ઓછી જણાય છે. આગામી 15 દિવસમાં આવક થોડી વધશે અને એક મહિના બાદ કેરીની પૂરેપૂરી સિઝન શરૂ થશે. જોકે, એ વાત નક્કી છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું કુલ ઉત્પાદન ઓછું જ રહેવાનું છે.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરુણ અકસ્માતે એક શ્રદ્ધાળુનો જીવ લીધો છે. આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુને ભાલના સનેસ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા સનેસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. પગપાળા ચાલીને જતાં શ્રદ્ધાળુને ટ્રકે અડફેટે લેતાં મોતમળતી વિગતો અનુસાર, આજે 1 એપ્રિલે સવારના સમયે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત કરુણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુ દિનેશભાઈ ચંદુભાઈ પરમારનું કરુણ મોત નિપજ્યું છે. ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયોભાવનગર જિલ્લાના ભાલ પંથકના સનેસ ગામ નજીક પગપાળા ચાલી રહેલા દિનેશભાઈ પરમાર ઉ.વ. 31ને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી બેઠા હતાં. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. મૃતદેહને પીએમમાં ખસેડાયોત્યારબાદ પદયાત્રીના મૃતદેહને પીએમ અર્થે વરતેજ સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.ઘટનાની જાણ થતાં સનેસ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે તલાશી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,952 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. આ ઉપરાંત જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે જેમાં 11 તાલુકાના 202 વોર્ડમાં 9,56,522 મતદારો હોવાનું જાહેર થયું છે. જ્યાં 36 સીટ અને 1189 પોલિંગ સ્ટેશન છે. રાજકોટ મહાપાલિકાના ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, ગત 23 માર્ચના શહેર વિસ્તારની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 1 થી 18 વોર્ડ મા ગત વર્ષના 10,93,991 મતદારો હતા. જોકે તાજેતરમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી. જેમાં ગેરહાજર મતદારો, એક જ મતદારનુ બે જગ્યાએ નામ, શિફ્ટ થયેલા તેમજ મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા. જેમાં 25 બુથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 90 બૂથ વોર્ડ નંબર 11 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 202 વોર્ડની 36 સીટ પર 1189 પોલિંગ સ્ટેશન છે. જ્યાં 9,56,522 મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 1,34,482 અને જસદણમાં 1,24,646 મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા 46,602 મતદારો છે.
અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
ગુજરાત હાઇકોર્ટમાં આરોપી સુભાષ મોદી દ્વારા વર્ષ 2014માં નારણપુરા પોલીસમાં નોંધાયેલ દુષ્કર્મ, ધમકી સહિતની ફરિયાદ સંદર્ભે ફરિયાદ અને ચાર્જશીટ રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં દાખલ થયેલ છે. જેમાં 11 આરોપી સામે યુવતીએ આક્ષેપો કરેલા છે. તેમાં પણ અરજદાર પહેલા નંબરનો આરોપી છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી નાખી છે. CG રોડની ઓફિસે ઠંડુ પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું'તુંકેસની વિગતે જોતા યુવતી જ્યારે માત્ર ચાર વર્ષની હતી. ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. આરોપી યુવતીનો પાડોશી હતો. યુવતીને તેના સંબંધમાં લગ્ન કરાવી આપવાનું કહી તે યુવતીને તેના પરીવાર સામે ઉશ્કેરતો હતો. તેને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. યુવતીને આરોપી પોતાની સી.જી.રોડની ઓફિસે બોલાવતો અને ઠંડુ પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 8 વર્ષ સુધી આરોપીએ યુવતીનું શારીરિક શોષણ કર્યુંવારંવાર આરોપી જુદી જુદી જગ્યાએ યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. યુવતી 24 વર્ષની થઈ ત્યાં સુધી આ સિલસિલો ચાલ્યો હતો. આમ 8 વર્ષ સુધી આરોપીએ યુવતીનું શારીરિક શોષણ કર્યાને આક્ષેપ કરવામાં આવેલ છે. એટલું જ નહીં આરોપીએ યુવતીના બીભત્સ ફોટા અને વિડીયો પણ સાચવી રાખ્યા હતાં. યુવતીના પિતાએ યુવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. જેમાં એક જ વર્ષમાં આરોપીની દખલગીરીને લઈને તેના છૂટાછેડા થઈ ગયા હતા. યુવતીના લગ્ન બાદ પણ આરોપીએ પીછો છોડ્યો નહીંયુવતી નોકરી કરવા જતી ત્યારે પણ આરોપી તેનો પીછો કરતો અને શરીર સંબંધો બાંધતો. યુવતીના બીજે લગ્ન થયા હતા, ત્યાં તેને યુવતીને મિસ કોલ આપવા માટે દબાણ કર્યું હતું. જો તે નહીં કરે તો તેના સાસરીયાઓને બીભત્સ ફોટા મોકલી દેવા ધમકી આપી હતી. જેથી કરીને યુવતી તેની વાત માનવી પડી હતી. તે 17 લાખના ઘરેણા અને રોકડ રૂપિયા લઈને પોતાની સાસરીમાંથી ભાગી નીકળી હતી. હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતીઆરોપીએ ભોગ બનનાર યુવતીને અન્ય એક યુવતીને મળવા કહ્યું હતું. જ્યાં એક સહ આરોપીએ યુવતી પાસેથી પૈસા અને મોબાઈલ લઈ લીધો હતો. તેને પણ યુવતી નું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીના ઘરના લોકોને યુવતીનું કિડનેપ થયું હોવાનું લાગતા પોલીસને જાણ કરીને, હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. યુવતી મળી આવતા તેને સોલા અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશને હાજર કરાવી હતી. જ્યારે આખરે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. આરોપીના વકીલનું કહેવું હતું કે, યુવતીએ કરેલ શારીરિક શોષણની બાબત ઉપજાવી કાઢેલી છે. એટલું જ નહીં તેને બીજા લોકો પર પણ શોષણનો આક્ષેપ મૂક્યો છે. તો 8 વર્ષ સુધી તે ચૂપ શા માટે રહી ? હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી નાખીજો કે કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેટલાક પુરાવાઓ આરોપી સામે મળી આવ્યા છે. ત્યારે ફરિયાદ રદ કરવાની અરજીમાં નાની ટ્રાયલ ચલાવી શકાય નહીં. દેખીતા રીતે યુવતીએ કરેલા આક્ષેપો ખોટા લાગતા નથી, ત્યારે આ અરજી કોર્ટે ફગાવી નાખી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ફાઈનલ મતદાર યાદી જાહેર કરાયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરાય તેવી પૂરી શક્યતા છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 15 મહાનગરપાલિકા અને જ્યારે બીજા તબક્કામાં 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત અને 84 નગર પાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ફાઈનલ મતદાર યાદી બાદ ચૂંટણીની તારીખો જાહેર થશેમતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ હવે કોઈ પણ પ્રકારના મોટા ફેરફારો શક્ય નથી રહેતા, જેથી ચૂંટણી માટેનો માર્ગ લગભગ સ્પષ્ટ બની ગયો છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણી આયોગ તારીખો જાહેર કરી શકે છે. તાજેતરમાં કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણી અંગેનો નિર્ણય હવે અંતિમ તબક્કે પહોંચી ગયો છે. ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગ્યાચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2021માં 23 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખે 23 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે SIRની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી.
પાટણમાં ટર્બો ટ્રક-કાર અકસ્માત, ₹25 હજારનું નુકસાન:પોલીસે ચાલકને ઝડપી ફરિયાદ નોંધી, તપાસ શરૂ
પાટણ શહેરમાં સંખારી ત્રણ રસ્તા પાસે એક ટર્બો ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના કારણે કારને આશરે ₹20,000 થી ₹25,000 નું નુકસાન થયું હતું. આ ઘટના અંગે કાર ચાલકે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ટર્બો ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના માતાપિતા સાથે કારમાં સારવાર અર્થે પાટણ આવી રહ્યા હતા. સંખારી ત્રણ રસ્તા પાસે પાછળથી આવતા ટર્બો ટ્રકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેમની કારને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે કારને ₹20,000 થી ₹25,000 નું નુકસાન થયું હતું. કાર ચાલકે તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટર્બો ટ્રકના ચાલક, ચાણસ્માના રણાસણ ગામના મનુજી ગોપાળજી ઠાકોરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો સગીર સીટી બસની રાહે ગંગાજળિયા તળાવ પાસે ઉભો હોય એ દરમ્યાન સીટી બસના ચાલકે સગીરને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સગીરના પિતાએ પીએમઇ બસના ચાલક વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બસ સ્ટોપ પર ઉભો હતો ને અડફેટે લીધોમળતી માહિતી અનુસાર, શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ એરપોર્ટ રોડ પર સુવિધા ટાઉનશિપમાં રહેતા પ્રકાશ કલ્યાણભાઈ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તેનો 15 વર્ષિય પુત્ર અચ્યુત ગંગાજળિયા તળાવમાંથી પોતાના ઘરે આવવા માટે સીટી બસની રાહે ગંગાજળિયા તળાવ પાસેના બસ સ્ટોપ નંબર 4 પર ઉભો હોય એ દરમિયાન સીટી બસ નંબર GJ-04-AX-2896ના ચાલકે બસ સગીર અચ્યુતને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીએમઈ બસ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયોઆ અકસ્માતમાં સગીરને નાની મોટી ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગંગાજળિયા પોલીસે બેદરકારી પૂર્વક ડ્રાઈવીંગ કરનાર પીએમઈ બસ ડ્રાઇવર વિરુદ્ધ BNS એક્ટ 281, 125(b) તેમજ મોટર વાહન અધિનિયમ 177, 184 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે 7:30 કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે 30 મિનિટનો ભવ્ય 'વોટર લેઝર શો' યોજાશે. આ શોમાં ટુ-ડી અને થ્રી-ડી ટેકનોલોજીના માધ્યમથી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગાથા અને પ્રાચીન વારસાની રજૂઆત કરવામાં આવશે. જેમાં કીર્તિતોરણ, મ્યુઝિયમ અને પ્રાચીન મંદિરો જેવા સ્થાપત્યોનું ડિજિટલ નિદર્શન મુખ્ય આકર્ષણ રહેશે. લેઝર મ્યુઝિક સાથે સિંક્રોનાઇઝ થયેલી રોબોટિક્સ, ફોગ, સેન્ટર જેટ અને પીકોક જેવી વિવિધ વોટર ઇફેક્ટ્સ તેમજ મુવિંગ હેડ શાર્પી લાઈટ્સ મુલાકાતીઓ માટે એક અદભૂત દ્રશ્ય ઉભુ કરશે, વળી પ્રવાસીઓની ભીડને ધ્યાને રાખીને જરૂર જણાયે એકથી વધુ શોનું પણ આયોજન કરવામાં આવશે. સરકારે વડનગરના વિકાસમાં વધુ એક મહત્ત્વનું સોપાન ઉમેર્યું‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ના મંત્રને સાર્થક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદની ધરતી પરથી મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર માટે તૈયાર કરાયેલા વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના ઐતિહાસિક વારસાને આધુનિક ઓપ આપવાના સંકલ્પ સાથે સરકારે વડનગરના વિકાસમાં વધુ એક મહત્ત્વનું સોપાન ઉમેર્યું છે. 25 કરોડના ખર્ચે અત્યાધુનિક વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોવડનગરની ઐતિહાસિક ધરોહર સમાન શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત રૂ. 25 કરોડના ખર્ચે અત્યાધુનિક વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો વિકસાવવામાં આવ્યો છે. આ શો દ્વારા સદીઓ પહેલાની જળ સંચય અને સંરક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ વડનગરના ભવ્ય ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડના અદભૂત સમન્વય સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન પૂર્વજોની એન્જિનિયરિંગ કુશળતાનો પરિચય કરાવશે જે નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. વડનગરને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા નિર્ણાયક પગલુંનોંધનીય છે કે, વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વડનગરને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે. આ નવા પ્રકલ્પોના આગમનથી વડનગરમાં દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો વધશે જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. વડનગરની ગલીઓમાં જીવંત અનુભવાતા ઇતિહાસને હવે આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રવાસીઓ માણી શકશે.
શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે.આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા પર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને ઉત્પરજ કરી હતી અને સ્થાનિકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને લઈને ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું કહ્યું હતું.હીરાવાડી જંકશન પર કર્યું નિરીક્ષણશહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેટિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંકશન ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા હતા.કટ બંધ કરવાથી કેટલો ફાયદો થાય છે તેને લઈને કમિશનરે ટ્રાફિક ડીસીપી અને પીઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ ચાર રસ્તા ઉપર આવેલા દુકાનદારને પૂછ્યું હતું કે ટ્રાફિક બંધ કરવાના કારણે કેટલી રાહત રહે છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો એ પહેલા ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા. ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિકમાં ખૂબ જ રાહત રહે છે 100 મીટર દૂર કરીને જવામાં અમને કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ ડિવાઈડર બંધ કરવાના કારણે ખૂબ જ ફાયદો થઈ ગયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા છે તેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે. ત્યાંથી વાહન ચાલકો જઈ શકે છે.ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે.ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ કરી રહી છેજ્યારે પણ રોડ બનાવવામાં આવે છે અને પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તાઓ ઉપર આમને સામને અવરજવર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે.પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. અને ટ્રાફિક ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા હતા અને સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકજામની ફરિયાદો ઓછી થઈ:પોલીસ કમિશનરપોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે છેલ્લા છ મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ટ્રાફિક જંકશન ઉપર શું ફેરફાર કરી શકાય તેના માટે અમે બંને ડીસીપીને સાથે રાખી અને સર્વે કરાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હીરાવાડી ટ્રાફિક જંકશન ડીવાઈડર કટ બંધ કરવાના કારણે લોકો ખૂબ જ ખુશ છે. ટ્રાફિકની અવરજવર ખુબ જ સરળ થઈ ગઈ છે. ફીડબેક પણ મળી રહ્યા છે. લોકો ટ્વિટર(X) ઉપર ટ્રાફિક જામ અંગેની ફરિયાદ કરતા હતા હવે એ ફરિયાદો પણ ઓછી થઈ ગઈ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક ઘટાડવા માટે થઈ અને અમે ઘણા બધા બદલાવ કરી રહ્યા છીએ. જેમાં ડિવાઈડર કટ બંધ કરવામાં આવી રહ્યો છે.કેટલાક ડિવાઈડર કટ અમે ચાલુ પણ કરી રહ્યા છીએ. જેનાથી ટ્રાફિક વધુ સરળતાથી અવરજવર થઈ શકે તેની કામગીરી કરી રહ્યા છીએ.આ મુખ્ય જંકશન પર ડિવાઈડર કટ બંધપીરાણા જંકશનનારોલ કોઝી હોટલનારોલ સર્કલહાથીજણ સર્કલકમોડ સર્કલ સીટીએમ ચાર રસ્તાહાટકેશ્વર સ્વસ્તિક ચાર રસ્તા હીરાવાડી ચાર રસ્તા નાનાચિલોડા ચાર રસ્તા ભાટ જંકશનગરીબનગર ચાર રસ્તાઇન્દિરા બ્રિજ સર્કલશેલા સર્કલ કર્ણાવતી ક્લબથલતેજ પેલેડિયમ મોલ
પૈસાની લેતીદેતીના વિવાદમાં સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ભાજપ સદસ્ય અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને મોરબી સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર બનાવ શું હતો?મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજાએ અજય મનસુખ લોરીયાને 25,000,000 (25 લાખ) રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમય બાદ આ રકમ પરત માંગતા રવિવારે રાત્રે 11:30 વાગ્યે અજયે શેખરને શનાળા રોડ પર આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં મુલાકાત માટે બોલાવ્યા હતા. શેખર આદ્રોજા તેમના મિત્ર જયેશ પાડલીયા સાથે ઇનોવા ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા. ગિન્નાયેલા અજય લોરીયાએ ગાડીમાંથી લોખંડની ખીલીઓ જડેલો ધોકો કાઢી બંને પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં જયેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 12થી વધુ ટાંકા આવ્યા હતા, જ્યારે શેખરને બંને હાથમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ જપ્તઘટના અંગે શેખર આદ્રોજાએ મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી અજય લોરીયાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન મુદ્દામાલ કબજે કર્યો છે: ગુનામાં વપરાયેલી મર્સિડીઝ ગાડી હુમલા માટે વપરાયેલો ખીલીવાળો ધોકો આરોપીના લોહીવાળા કપડાં મોબાઈલ ફોન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. હાલમાં આરોપી મોરબી સબ જેલમાં બંધ છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્રોના વિતરણ સાથે આશાસ્પદ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ભીડ ભાજપમાં ઉમેદવારી માટેના પ્રબળ ઉત્સાહને દર્શાવે છે. પક્ષ દ્વારા આવતીકાલે, 2 એપ્રિલ 2026 ના રોજ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે બે અલગ-અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 થી 8 માટે સેન્સ પ્રક્રિયા જામનગરના ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાશે, જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષ દ્વારા નિર્ધારિત આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની રણનીતિ અને ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ વધુ તેજ બનશે.
પિતાએ મારી સામે જ માતાના પેટમાં છરી મારી દીધી છે, મે એમ્બ્યુલન્સ બોલાવવા માટે પિતાને કહ્યુ તેમણે મને મારવાની ધમકી આપી હતી જેથી મે ચોરી છુપેથી ફોન કરી દીધો હતો. આ શબ્દો એક દસ વર્ષના બાળકના છે જે સાક્ષી છે તેની માતા સાથે બનેલી ઘટનાનો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પતિએ પત્નીને બાળકોની સામે પેટમાં છરી મારીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ વાળ પકડીને મારામારી કરીથલતેજ વિસ્તારમાં રહેતી મીના વઢવાણાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પતિ ધીરજ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. મીના વઢવાણા પતિ ધીરજ તેમજ દસ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે(31 માર્ચ) મીના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે ધીરજ આવ્યો હતો અને 200 રૂપિયા વાપરવા માટે માંગ્યા હતા. મીનાએ રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા ધીરજ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.ધીરજે મીનાના વાળ પકડીને મારામારી કરવાની શરૂ કરી દીધી હતી જેના કારણે બન્ને બાળકો રડવા લાગ્યા હતા. લોહીલુહાણ માતા જમીન પર પડતાં જ દીકરાએ બુમાબુમ કરીધીરજે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને મીનાના પેટમાં મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં મીના જમીન પર ઢળી પડી હતી જ્યારે દસ વર્ષના દીકરાએ બુમાબુમ કરી દીધી હતી. દીકરાની બુમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોહીથી લથબથ મીના દોઢ કલાક સુધી તરફડીયા માર્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધીરજ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વાપીના બે લોકપ્રિય PIની બદલી:પોલીસ જવાનો અને સ્થાનિકોએ ભાવભીની વિદાય આપી
વાપીના બે પોલીસ અધિકારીઓ, PI અમીરાજસિંહ રાણા અને PI મયુર પટેલની બદલી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 7 PIની બદલીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. વાપી GIDC પોલીસ મથકના PI રાણા અને વાપી ટ્રાફિક પોલીસ મથકના PI પટેલને પોલીસ જવાનો અને સ્થાનિકો દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહ દરમિયાન પોલીસ જવાનોએ અધિકારીઓ પર પુષ્પવર્ષા કરી હતી. વાપી GIDC મથકે PI અમીરાજ રાણા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમને સાફો પહેરાવી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ તેમને ફૂલોથી શણગારેલી જીપમાં બેસાડી, ઢોલ-નગારાના તાલે વિદાય અપાઈ હતી. PI અમીરાજસિંહ રાણાની બદલી વાપી GIDC થી સુરત રૂરલ ખાતે કરવામાં આવી છે. જ્યારે PI મયુર પટેલની બદલી વાપી ટ્રાફિક પોલીસ મથકથી ગાંધીનગર ખાતે થઈ છે. બદલીના સમાચાર બાદ પોલીસ મથકને ફુગ્ગા અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથી કર્મચારીઓએ જણાવ્યું કે આ અધિકારીઓએ તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સ્ટાફ સાથે પણ સારો વ્યવહાર રાખ્યો હતો.
વલસાડમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ટિકિટ વાંચ્છુકોનો મેળાવડો
વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેર, વાપી અને નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દાવેદારો સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા વલસાડના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોને સાંભળ્યા હતા. સવારથી જ ટિકિટના દાવેદારો તેમના સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદાર સાથે એકાંતમાં ચર્ચા કરીને પક્ષ પ્રત્યેની તેમની સક્રિયતા અને જીતવાની ક્ષમતા અંગેની વિગતો મેળવી હતી. નવરચિત નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા આદિવાસી પટ્ટામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાનાપોંઢા ખાતે પ્રદેશ નિરીક્ષકોએ કપરાડા તાલુકા અને નવા રચાયેલા નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા હતા. આ વિસ્તારોમાંથી સ્થાનિક આગેવાનો અને યુવા ચહેરાઓએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવતા, નિરીક્ષકો માટે ઉમેદવારોની પસંદગી પડકારજનક બની શકે છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 થી 7 માટેના ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધમાં છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ તાલુકા-જિલ્લા પંચાયત અને પાલિકા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો છે. દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નિરીક્ષકો સમક્ષ મોટી સંખ્યામાં બાયોડેટા રજૂ કરવામાં આવ્યા હતા.
સચિન GIDCમાં આગ:હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગથી અફરાતફરી, ફાયરની ટીમ ઘટનાસ્થળે
સુરત સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. એક કંપનીમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગનું કારણ અકબંધ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આજે દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.વોર્ડ પ્રમાણે દાવેદારોને સમયની ફાળવણી9 નિરીક્ષકમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. સેન્સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં દરેક વોર્ડ વાઈઝ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે, જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ મેળવી રહ્યા છે. આ માટે સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહી આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઈ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવું જરૂરી છે. નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજૂઆત જ કરવાની રહેશે. સમર્થકોના જૂથ સાથે રજૂઆત કરવા મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.60 વર્ષથી વધુ ઉંમર હશે તો ટિકિટ નહીં મળે તેવી ચર્ચામહાપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવારો અંગેનો ક્રાઈટેરિયા જાહેર કર્યો નથી, પરંતુ પક્ષના વર્તુળોમાં ચર્ચા મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય, 60 વર્ષથી વધુની ઉંમર હોય, સંગઠનમાં મહત્વના પદ ઉપર હોય તેને ટિકિટ નહીં અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ સુધી આ પરિપ્રેક્ષ્યની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના સક્રિય સભ્ય હોય તેવા કોઈ પણ વ્યક્તિ દાવેઘરી કરી શકશે. જ્યારે પક્ષની સક્રિય સભ્યની વ્યાખ્યા એવી છે કે જેમણે ઓછામાં ઓછા 100 સભ્ય બનાવ્યા હોય તેને સક્રિય સભ્ય કહેવામાં આવે છે.વર્ષ 2021ની ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા માત્ર 12 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા હતા અને બાકીના 60 નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આમ છતાં 72 પૈકી 68 બેઠક પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી.એક માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ચાર ઉમેદવારો જીત્યા હતા. જો કે વોર્ડ નંબર 15માં ભાજપ અત્યાર સુધી કોઈ ચૂંટણીમાં જીત મેળવી શક્યું નથી. પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા યુવા પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર 15માં જીત મેળવવા પડકાર આપ્યો છે. જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તેના પર સૌની નજર રહેશે.
બોટાદ APMC સાત દિવસની રજા બાદ શરૂ:ખેડૂતો જણસી વેચવા ઉમટ્યા, વાહનોની લાંબી કતારો લાગી
બોટાદ APMC માર્કેટિંગ યાર્ડ સાત દિવસની રજા બાદ આજે ફરીથી કાર્યરત થયું છે. યાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતો પોતાની કૃષિ જણસી વેચવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર, પીકઅપ ગાડીઓ અને છકડા રિક્ષાઓ જેવા વાહનો સાથે યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. યાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે કૃષિ ઉપજની નોંધપાત્ર આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૫ માર્ચથી ૩૧ માર્ચ સુધી માર્ચ એન્ડિંગના કારણે યાર્ડમાં રજા રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ કામકાજ થયું ન હતું. આજે યાર્ડ શરૂ થતાં ઘઉં, ચણા અને કપાસ જેવી મુખ્ય જણસીઓની પુષ્કળ આવક નોંધાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર સોનેસ પટેલે આ માહિતી આપી હતી.
ભરૂચમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:નિરીક્ષકોએ કાર્યકર્તાઓના અભિપ્રાય લીધા, નિષ્ઠા-અનુભવને મહત્વ
ભારતીય જનતા પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લામાં તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાથી જિલ્લા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચની એક ખાનગી હોટલમાં આ પ્રક્રિયા યોજાઈ હતી, જ્યાં પ્રદેશ નિરીક્ષકોની ટીમે કાર્યકર્તાઓ અને ટિકિટના દાવેદારો સાથે સીધી મુલાકાત કરી તેમના અભિપ્રાય સાંભળ્યા હતા. આ ટીમમાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કરવા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની આશરે ૧૬ બેઠકો માટે દાવેદારો પાસેથી અરજીઓ અને બાયોડેટા સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેક દાવેદારને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી છે. પ્રદેશ નિરીક્ષક ડૉ. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સાથેનો લગાવ અને સંગઠન પ્રત્યેની સતત કામગીરીને મહત્વ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે નવા ચહેરાઓને પણ યોગ્ય તક અપાશે. અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ આપવા અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ માહિતી આપી હતી કે આ સેન્સ પ્રક્રિયા ભરૂચ અને અંકલેશ્વર ખાતે બે દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ગરમીના માહોલ વચ્ચે પણ જિલ્લા હોદ્દેદારો, ટિકિટના દાવેદારો અને કાર્યકર્તાઓનો ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે.
યુદ્ધના કારણે ઊર્જા કટોકટી? ઓઇલના ભાવ 150-200 ડૉલર જવાની ભીતિ, વ્હાઈટ હાઉસે શરૂ કરી તૈયારીઓ
(IMAGE - IANS) Global Oil Crisis: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ હવે બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. આ સંઘર્ષને કારણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને બંધ કરી દેતા વિશ્વના 20થી 25 ટકા ઓઇલ અને ગેસ સપ્લાય પર સીધી અસર પડી છે.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆતમાં રાજુલા તાલુકાના દેવકા ખાતે નવીન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમરાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યા. ગર્લ્સ હોસ્ટેલ: 1100 બેડની સુવિધા ધરાવતી આધુનિક નૂતન કન્યા છાત્રાલય. ભોજનાલય: 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ભોજનાલય. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉત્તમ રહેઠાણ અને ભોજન સાથે શિક્ષણની વધુ સારી તકો પ્રાપ્ત થશે. જળસંચય અને અન્ય વિકાસ કાર્યોની રૂપરેખામુખ્યમંત્રીના આજના પ્રવાસમાં અન્ય મહત્વના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે: સણોસરા (જળસંચય): અમરેલી તાલુકાના એકસાથે 71 ગામોમાં 'ગીરગંગા ફાઉન્ડેશન' અને 'GETCO'ના સહયોગથી તળાવ ઊંડા કરવાની કામગીરીનો શુભારંભ. આ કાર્યનો લાભ જિલ્લાની અન્ય વિધાનસભાના બીજા 5-5 ગામોને પણ મળશે. અમરેલી શહેર: જેસિંગપરાના શિવાજી ચોક ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ. મતીરાળા (નદી ડીપનિંગ): લાઠી તાલુકાની પીપરિયા નદીને આશરે 9.6 કિમી (મતીરાળાથી કૃષ્ણગઢ 7740 મીટર અને કેરાળાથી કૃષ્ણગઢ 1860 મીટર) સુધી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત. ધોળકિયા ફાઉન્ડેશન સાથે 80:20ની લોકભાગીદારી હેઠળ આ પ્રોજેક્ટ માટે અંદાજે 15.66 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજકીય માહોલ અને ચૂંટણીના એંધાણરાજ્યમાં આગામી ટૂંકા સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં દિવસભર કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમોમાં સાંસદ ભરત સુતરિયા, જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો દ્વારા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.
અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપીએ આતંક મચાવ્યો છે. આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું છે. અસામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ ગાડીના કાચ તોડ્યામાધવપુરાના વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે 31 માર્ચના રાતના સમયે તેમનો પરિવાર ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને ગાડી લઈને પરત આવ્યો હતો. ગાડી તેમના ઘરની બહાર પાર્ક કરી હતી.પાર્ક કરીને જૈમિન ઘરમાં સૂતો હતો,સવારે ઊઠીને જોયું તો ઘરની બહાર પડેલી ગાડીનો આગળનો અને પાછળનો કાચ તૂટેલો હતો અને દરવાજા પર પણ નુકસાન થયેલું હતું. ઘરની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા રાતના સમયે એક એક્ટિવા પર ત્રણ શખ્સ આવ્યા હતા. જેમાં એક કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દિપક ઠાકોર હતા. આ ત્રણેયે ભેગા મળી પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી હતી. હત્યાના આરોપમાં પેરોલ પર બહાર છે આરોપીગાડીમાં કરેલી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પૈકી કરણ રાજપૂત બે વર્ષ પહેલા ફરિયાદીના પરિવારના એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો. હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો. આરોપીએ જૂની અદાવતમાં જ તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આપ ઉમેદવાર જયદીપસિંહ ઝાલાની ધરપકડ:મહાનગરપાલિકાને અપશબ્દો કહેતો વીડિયો વાયરલ કરવા બદલ ગુનો
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયદીપસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) પર ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હોવાનું તંત્રનું કહેવું છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઝાલાએ વીડિયોમાં કોર્પોરેશનના સત્તાધીશો અને તંત્ર માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના પર ખોટા આક્ષેપો દ્વારા પ્રજામાં તંત્ર પ્રત્યે રોષ જગાડવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ કૃત્ય સરકારી સંસ્થાની છબી ખરડાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદના આધારે, જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે જયદીપસિંહ ઝાલા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોર્ડ નંબર-2ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ચૂંટણી પહેલા જ ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર પાયાવિહોણા આક્ષેપો કરીને સંસ્થાઓને બદનામ કરનારા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે. 12 નિરીક્ષકોની પેનલ દાવેદારોને સાંભળશેશહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક નાનામાં નાના કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે. સવારથી જ સેંકડો કાર્યકર્તાઓ બાયોડેટા અને સમર્થકો સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે. ભાજપ-AAP વચ્ચે જંગઆજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દાવેદારોને સાંભળવાનું શરૂરાજકોટ મનપા માટે બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીગ્નેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે આજરોજ દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, સંચાલક મંડળના પ્રમુખ ડો. એમ.યુ. ટમાલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા, નાયબ નિયામક ભરતસિંહ ગોહિલ સહિત રાજ્યના વિવિધ હોદ્દેદારો અને જિલ્લાભરના આચાર્ય સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશન દરમિયાન જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નિવૃત્ત થયેલા આચાર્યો અને આચાર્યોના તેજસ્વી સંતાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલે સંઘના મહત્વ વિશે સમજાવ્યું હતું, જ્યારે મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ યુનિયન દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝાએ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને આચાર્યોને આ દિશામાં ચિંતા કરવા જણાવ્યું હતું. બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન બદલ તમામ આચાર્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી શૈક્ષણિક વર્ષ માટે સુંદર આયોજન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અધિવેશનના સફળ આયોજન બદલ ઉપસ્થિત સૌએ ખુશી વ્યક્ત કરી હતી.
કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (1 એપ્રિલ) સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર ટેબ્લો આકર્ષણઆ વખતની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી.ઓપરેશન સિંદૂર ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો જોવા મળી રહ્યા છે. 30 ટ્રક કે જેમાં ભજન મંડળી અને સુશોભિત ટ્રકોનો પણ સમાવેશ કરાયો છે. દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક પણ સામેલ છે. 200થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ શોભાયાત્રામાં જોડાઈ છે. યાત્રાના રૂટ પર 50થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો રાખવામાં આવ્યા છે.શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ શાહીબાગ અંડરબ્રિજ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, ગાંધી બ્રિજ, આશ્રમ રોડ, પાલડી થઈને વાયુદેવતાના મંદિરે પહોંચશે. ત્યાં વિશ્રામ બાદ અંજલી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે.શોભાયાત્રાના સ્વાગત માટે 50 કેન્દ્રઆ અંગે હનુમાન કેમ્પ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી એ જણાવ્યું હતું કે, હનુમાનજીની શોભાયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું અને આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જઈ રહ્યા છે. આ શોભાયાત્રા રસ્તામાં 45થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં સ્વાગત કરશે. એમને પણ પ્રસાદ આપવામાં આવશે. આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જન્મોત્સવ છે એની ઉજવણી કરવા માટેની પરવાનગી માંગશે અને સાંજે 5 વાગ્યે આ જ રીતે શોભાયાત્રા મંદિરે પરત ફરશે. આ વર્ષે આ શોભાયાત્રામાં અમે 'ઓપરેશન સિંદૂર'નો પણ એક ટેબલો બનાવ્યો છે, જે દરેક લોકોને ગમશે. આપણા જવાનોએ જે 'ઓપરેશન સિંદૂર'માં સફળતા મેળવી એની એક યાદ પણ તાજી થશે.આવતીકાલે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદહનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિરે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો જોવા મળશે. મંગળા આરતી અને ફૂલોના શણગાર સાથે દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવવામાં આવશે. સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે.તો સવારે 11 કલાકે ધ્વજારોહણ બાદ ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 4 થી 6 દરમિયાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા એમડી આવવાના હોવાથી રવિવારે ઓફિસે ગયો હતોમૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીની INS કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.29 માર્ચે રવિવાર હોવા છતાં ઓફિસમાં નવા એમડી આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે સાડા ચાર વાગે પોતાની કેટીએમ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યારે પરિવારને અંદાજ પણ નહોતો કે પિનાકી સાથેની આ છેલ્લી મુલાકાત હશે. પતિના ફોન પરથી પત્નીને અકસ્માતનો ફોન આવ્યોપિનાકી ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ તેની પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે. અકસ્માત થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતોઆ સમાચાર મળતા જ પિતા જહરલાલ અને નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે પિનાકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબોએ તપાસ બાદ પિનાકીને મૃત જાહેર કર્યો હતો. બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુપોલીસની પ્રાથમિક તપાસમાં પિનાકીએ પોતાની બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ હતું.હતું. આ મામલે અકસ્માતનો ગુનો નોંધી પિનાકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રની લૌકિક ક્રિયા પૂર્ણ થતા પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.
ગીરના કાંઠે આવેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે કુદરતનો એક અનોખો સંઘર્ષ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલી 2 સિંહણોએ એક ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાયે અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરતા બંને સિંહણોને શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવડિયાના ફાર્મ હાઉસ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જ્યારે દીવના નાગવા રોડ પર આવેલા એરપોર્ટ નજીક પણ ગત મોડી રાત્રે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી. સમગ્ર ઘટના શું હતી?વહેલી સવારે જ્યારે એક ગાય ફાર્મ હાઉસ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સિંહણ તેની સામે આવી ચડી હતી. સિંહણને જોઈ ગાય ડરવાને બદલે મક્કમતાથી ઊભી રહી હતી અને જીવ બચાવવા પ્રતિકાર શરૂ કર્યો હતો. આ દરમિયાન બીજી સિંહણ પણ ત્યાં આવી પહોંચી હતી. 2 શિકારી પ્રાણીઓ સામે એકલી ગાયનો શિકાર નિશ્ચિત જણાતો હતો, પરંતુ ગાયે હિંમત હાર્યા વગર પોતાના શિંગડા બતાવી સિંહણો સામે મોરચો માંડ્યો હતો. ગાયના આક્રમક મિજાજ સામે બંને સિંહણો લાચાર બની હતી અને અંતે શિકાર જતો કરીને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ હતી. પાતાપુર 'સિંહોનું ગામ' અને હાઈટેક સુરક્ષાપાતાપુર ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને મહિલા સરપંચ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં 50થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વન્યજીવોની અવરજવર અંગે ત્વરિત જાણકારી આપવા માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે, જેથી પશુપાલકો અને સ્થાનિકો સતર્ક રહી શકે. દીવ એરપોર્ટ નજીક પણ સિંહણની લટારબીજી તરફ, પ્રવાસન સ્થળ દીવના નાગવા રોડ પર આવેલા એરપોર્ટ નજીક પણ ગત મોડી રાત્રે એક સિંહણ લટાર મારતી જોવા મળી હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. રહેણાંક વિસ્તારો અને પ્રવાસન સ્થળો નજીક સિંહોની વધતી જતી હાજરી સૂચવે છે કે સિંહો હવે જંગલની હદ છોડીને રેવન્યુ વિસ્તારોમાં પોતાનો પ્રભુત્વ વધારી રહ્યા છે.
રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 15 એપ્રિલ, 2026થી ફોર્મ ભરી શકાશેજાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલા જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. TET-1 પાસ ઉમેદવારો માટે તકઆ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખોરાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાતગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (TAT-Higher Secondary) માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. ઉમેદવારો પોતાના કોલ લેટર 1 એપ્રિલ, 2026 બપોરે 2 વાગ્યાથી 12 એપ્રિલ, 2026 બપોરે 12 વાગ્યા સુધી OJAS અને SEBની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે ઉમેદવારોએ નિયમિત વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.
પાટણ શહેરના પીપળા શેર વિસ્તારમાં દુકાનની માલિકી હકને લઈને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ૩૦ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ અનિલભાઈ શાંતિલાલ (ઉં.વ. ૬૨, રહે. મલહાર ગ્રીન બંગલો, પાટણ) દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની પીપળા શેરી નાકા પાસે આવેલી જ્વેલર્સ દુકાને પહોંચ્યા હતા. ત્યાં પરીખ હેમંતભાઈ અશોકભાઈ અને રવિભાઈ ખમાર હાજર હતા. દુકાન અંગે બોલાચાલી થતાં બંને વ્યક્તિઓએ તેમને ગાળો ભાંડી ગડદા-પાટુનો માર માર્યો હતો. અનિલભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. તેમના પુત્ર અમિતભાઈએ તેમને બચાવ્યા હતા. આરોપીઓએ જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હેમંતભાઈ પરીખ અને રવિભાઈ ખમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામે પક્ષે, હેમંતભાઈ અશોકકુમાર નંદલાલ દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ૩૦ માર્ચના રોજ સવારે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ પોતાની દુકાન ખાતે હાજર હતા. તે દરમિયાન સોની અનિલભાઈ શાંતિલાલ, સોની અમિતભાઈ અનિલભાઈ, સોની મયુરભાઈ અને સોની નિકુંજકુમાર (જય શ્રી કૃષ્ણ જ્વેલર્સ) દુકાન પર આવ્યા હતા. આ લોકોએ દુકાન પોતાની હોવાનો દાવો કરી હેમંતભાઈ સાથે બોલાચાલી કરી હતી. વિવાદ ઉગ્ર બનતા આરોપીઓએ હેમંતભાઈને ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી દુકાનમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં હેમંતભાઈને ડાબા ખભા તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને પાટણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ બનાવ અંગે પાટણ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. 8 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશનઆ બઢતી હેઠળ 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશો જારી કરાતા વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશેસરકારના આ નિર્ણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(1 એપ્રિલ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હતી, જેમાં વાહનોની લાઈટો અને ઘોંઘાટથી ગભરાયેલા સિંહો દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં નાસી છૂટ્યા હતા. આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે વન વિભાગ ભલે કાગળ પર ઈકો-ઝોન અને સુરક્ષાના મોટા દાવા કરતું હોય, પણ વાસ્તવિકતામાં વન્યજીવો રસ્તા પર ભગવાન ભરોસે છે. 7 સેકન્ડમાં વાહનચાલકોએ માંડ બ્રેક લગાવીવાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સિંહોનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું હતું, ત્યારે વાહનોની અવરજવર ચાલુ હતી. અચાનક સિંહોને સામે જોઈ વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારી દેવી પડી હતી. જો સેકન્ડના સોમા ભાગની પણ ચૂક થઈ હોત, તો સિંહો વાહનોની અડફેટે આવી શક્યા હોત અથવા કોઈ બાઈક ચાલક પર હુમલો થવાની પૂરેપૂરી શક્યતા હતી. માત્ર ત્રણ સિંહો દિવાલ કૂદી ગયા અને બાકીના ત્રણ લોખંડની જાળીમાંથી પસાર થઈ ગયા, જે દર્શાવે છે કે સિંહો પણ આ અચાનક આવી પડેલા વાહનોથી ગભરાયા હતા. માત્ર એક જ સાવચેતીના લાઈટિંગ બોર્ડના ભરોસે વન વિભાગઆશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર ગિરનાર અભયારણ્યની એકદમ નજીક હોવા છતાં અને વન વિભાગની મુખ્ય ઓફિસ ત્યાં જ હોવા છતાં, તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના મુખ્ય માર્ગ પર વન્ય પ્રાણીઓની અવરજવર બાબતે સાવચેતી રાખવા માટે માત્ર એક જ લાઈટિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ રેડિયમ બોર્ડ, ચેતવણીના નિશાન કે જેવી કોઈ વ્યવસ્થા નથી. શું વન વિભાગ કોઈ મોટી જાનહાનિ અથવા સિંહના મૃત્યુની રાહ જોઈ રહ્યું છે? સિંહોની વસ્તીમાં વધારો, વન વિભાગની વ્યવસ્થામાં ઘટાડોવર્ષ 2025ની સિંહ વસતી ગણતરી મુજબ ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરે છે. આ ઉપરાંત હરણ, સાબર, રોઝ અને વાંદરા જેવા પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. જ્યારે વન્યજીવોની સંખ્યા વધી રહી હોય, ત્યારે તેમની સુરક્ષા માટેના પગલાં પણ એ જ ગતિએ વધવા જોઈએ. વારંવાર મીડિયા અહેવાલો અને સ્થાનિકોની રજૂઆતો છતાં વન વિભાગ નક્કર કામગીરી કરવામાં ઉણું ઉતર્યું છે. ઈકો-ઝોનના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્પષ્ટ જણાય છે. અહીં સવાલ જવાબદારીનો છે, કે અકસ્માત થાય તો દોષ કોનો?જો આ વાઇરલ વીડિયોવાળી ઘટનામાં કોઈ અણબનાવ બન્યો હોત, તો તેની જવાબદારી કોની હોત? વન વિભાગ હંમેશા વન્યજીવ સંરક્ષણની મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે જંગલની હદ પૂરી થાય અને રસ્તો શરૂ થાય ત્યાં તેમની કોઈ તકેદારી જોવા મળતી નથી. વાહનચાલકોની સુરક્ષા અને ગિરનારના ગૌરવ સમાન એશિયાટિક લાયન્સની સલામતી બંને હાલ જોખમમાં છે.
વેરાવળમાં 'પુસ્તક આપો, પુસ્તક લઈ જાઓ' અભિયાન:ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન
વેરાવળ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન દ્વારા વેરાવળમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત, 'પુસ્તક આપો અને જરૂરિયાતમંદ લઈ જાઓ' અભિયાનનું આયોજન 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ પ્રથમ વખત યોજાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસે રહેલા વણવપરાયેલા અથવા વંચાઈ ગયેલા પુસ્તકો એકત્રિત કરવાનો હતો. એકત્રિત થયેલા પુસ્તકોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને, તેને વિતરણ ડ્રાઈવ દ્વારા વાંચન ઈચ્છુક વિદ્યાર્થીઓ, બાળકો અને અન્ય વાચકો સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને બાળકોમાં વાંચનની આદત વધારવાનો, પુસ્તકોનું મહત્વ જાળવી રાખવાનો અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. પુસ્તક સંકલન અભિયાન 28 માર્ચ, 2026 સુધી દરરોજ બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન રાજસ્થાન મંડળ, વેલફેર સેન્ટર પાસે, નવદુર્ગા ગરબી મંડળ સામે, વેરાવળ ખાતે રાખવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરના અનેક પુસ્તક પ્રેમીઓએ આ પુસ્તક સેવા યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પુસ્તકોનું દાન કરનાર તમામ દાતાઓને સંસ્થા વતી સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનમાં આવેલ પુસ્તકોમાં શાળા/કોલેજના પુસ્તકો, વાર્તા પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને મેગેઝિન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન, વેરાવળના CSR ફંડ અંતર્ગત કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવાયું હતું.
વડોદરાના સંકટ હરણ હનુમાનજી મંદિરે:સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો
વડોદરાના કિશનવાડી પોલીસ ચોકી પાસે, આજવા રોડ પર આવેલા સંકટ હરણ હનુમાનજી મંદિરે મંગળવાર, 31 માર્ચ 2026ના રોજ સુંદરકાંડ પાઠ અને ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું. સુંદરકાંડ પાઠ સાથે હનુમાનજીના સ્મરણ, સ્તુતિ અને ભજનોનું ગાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સંકટ હરણ હનુમાનજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકટ હરણ હનુમાનજી મંદિર 40 વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે. આ મંદિર આજવા વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એવી માન્યતા છે કે અહીં મનોકામનાઓ પૂર્ણ થાય છે, જેના કારણે વર્ષભર ભક્તોની અવરજવર રહે છે.
નારણપુરામાં સત્સંગ સંધ્યા યોજાઈ:કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા પર ચર્ચા
કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહસંયોજક ચંદ્રિકાબેન પટેલના નિવાસસ્થાને સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સત્સંગ સંધ્યામાં નારણપુરા જિલ્લાના સંયોજિકા હેતલબેને વક્તા તરીકે ઉપસ્થિત રહી 'કુટુંબ પ્રબોધન' અને 'સામાજિક સમરસતા' વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ વિષયોનું મહત્વ સમજાવ્યું હતું. સત્સંગની શરૂઆત આચાર પદ્ધતિ અનુસાર કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રખંડના માતૃશક્તિના સંયોજક નીતાબેન અને નેહાબેન સહિત અનેક માતૃશક્તિ સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વલસાડ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમે પશુ ક્રૂરતાનો એક મોટો કેસ પકડ્યો છે. પંજાબથી કેરળ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા સાથે એક બંધ બોડીના ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસે આ કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે વોચ ગોઠવીપારડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક (નંબર KA-01-AN-5028)માં ગેરકાયદેસર પશુઓ લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ગૌરક્ષકોની ટીમને સાથે રાખી બગવાડા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. ટ્રક આવતા જ તેને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરમાં પશુઓની દયનીય હાલતટ્રકનું કન્ટેનર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અને ગૌરક્ષકો ચોંકી ઉઠ્યા હતા. બંધ કન્ટેનરમાં ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર 55 જેટલા નાના પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. પૂરતી હવા ન મળવાને કારણે પશુઓની હાલત ગંભીર હતી. પશુઓને તાત્કાલિક સારવાર અને નિભાવ માટે વાપીની રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. 5 આરોપીની ધરપકડ પોલીસે સ્થળ પરથી હરિયાણા અને ઉત્તર પ્રદેશના 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં અંસાર અઝીઝ ખાન, સાબીર આસુ, તાહીર રસીદ, સરફરાજ યાકુબ અને આબિદ અય્યુબનો સમાવેશ થાય છે. જ્યારે ઇરસાદ નુરમોહમ્મદ અને કેરળના વિનોદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. કબજે કરેલ મુદ્દામાલની વિગત 55 પાડા: અંદાજે 15,50,000 ટ્રક: 10,00,000 મોબાઈલ અને અન્ય: 20,000થી વધુ કુલ મુદ્દામાલ: 25,70,000થી વધુ તસ્કરીનું આંતરરાજ્ય નેટવર્ક?ગૌરક્ષકોના મતે, કેરળમાં બીફની વધતી માંગને કારણે પંજાબથી આ પ્રકારે પશુઓને ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાનું મોટું નેટવર્ક સક્રિય થયું હોવાની શક્યતા છે. પારડી પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ ક્રૂરતા નિવારણ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વલસાડ જિલ્લા પંચાયતમાં મોટા ફેરફાર:TDOની બદલીના ઓર્ડર રદ, નવા અધિકારીઓની નિમણૂક
ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. 12 પાનાના લાંબા જાહેરનામા દ્વારા વલસાડ જિલ્લાને સ્પર્શતા વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. જેમાં અગાઉના કેટલાક આદેશો 'મૂળ અસરથી' રદ કરી નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અગાઉની બદલીઓ રદ અને ફેરફારસરકારે વહીવટી કારણોસર અગાઉના આદેશોમાં સુધારો કરતા નિર્ણયો લીધા છે: રાજેન્દ્રકુમાર જે. પરમાર: વાંસદા (નવસારી) થી ધરમપુર (વલસાડ) ખાતે થયેલી બદલી રદ કરવામાં આવી છે. તેમને હવે માંડવી (સુરત) ખાતે નિમણૂક અપાઈ છે. કૃષ્ણપાલ મકવાણા: ધરમપુર (વલસાડ) થી માંડવી (સુરત) ખાતેની બદલી રદ કરવામાં આવી છે. તેઓ ધરમપુર ખાતે જ પોતાની ફરજ ચાલુ રાખશે. બઢતી સાથે નવી નિમણૂકરાજ્ય સેવાના વર્ગ-3 ના કર્મચારીઓને વર્ગ-2 માં બઢતી આપી વલસાડ જિલ્લામાં મહત્વની જવાબદારી સોંપાઈ છે: સંદીપકુમાર ભગોરા: નાયબ ચિટનીસ (નવસારી) માંથી બઢતી મેળવી પારડી (વલસાડ) ના નવા તાલુકા વિકાસ અધિકારી (TDO) બન્યા છે. કૈલાસ પટેલ: નાયબ ચિટનીસ (પાટણ) માંથી બઢતી મેળવી વાપી (વલસાડ) ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ) તરીકે નિમણૂક પામ્યા છે. જિલ્લાના અન્ય આંતરિક ફેરફારોવલસાડ જિલ્લાના કાર્યરત અધિકારીઓની પણ અન્યત્ર બદલી કરવામાં આવી છે: રાજેશ ધનગર: વલસાડના TDO ને ચિટનીસ-કમ-તાલુકા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. કરણકુમાર ગોહિલ: ઉમરગામના TDO ની બદલી જિલ્લા પંચાયત કચેરી, વલસાડ ખાતે જ ચિટનીસ તરીકે કરવામાં આવી છે. સરકારે બઢતી મેળવનાર તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ કર્યો છે. આ ફેરફારોથી વલસાડ જિલ્લાના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.આ ચૂંટણીઓમાં ગુજરાતના 90 ટકા મતદારો સામેલ થવાના હોય 2027 વિધાનસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાસ્કરે 24 માર્ચથી 29 માર્ચ દરમિયાન એક મેગા સર્વે હાથ ધર્યો હતો. જેમાં મતદારોને ત્રણ સવાલ કરાયા હતા. ભાસ્કરે હાથ ધરેલા મેગા સર્વેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કૂલ 17,944 મતદારોએ ભાગ લીધો હતો. ગુજરાતની સેમીફાઈનલ સમાન ચૂંટણી પહેલા વિવિધ સંસ્થાઓના મતદારો શું માની રહ્યા છે. કઈ સંસ્થામાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં કઈ પાર્ટીનું પલડું ભારે છે?, કઈ સંસ્થાઓમાં આપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ તમામ સવાલોના જવાબ આવતીકાલે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર પોલના રિઝલ્ટમાં જાણી શકશો.
સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 21 (સોની ફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાદરસાની નાળથી મકાઈ પુલ સુધીના વિસ્તારમાં રહેતા 5000થી વધુ પરિવારો છેલ્લા 30 વર્ષથી જળબંબાકારની સમસ્યા ભોગવી રહ્યા છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષથી મેટ્રોની ગોકળગતિએ ચાલતી કામગીરીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે. સ્થાનિક રહીશ ફૈઝલ રંગરેઝ કહ્યું, 30 વર્ષથી અમે પાણીમાં ડૂબેલા છીએ, કોર્પોરેટરો માત્ર મત લેવા આવે છે. જ્યારે અન્ય સ્થાનિકે કિશોરભાઈએ જણાવ્યું કે, અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ. સામાન્ય વરસાદમાં પણ 4 ફૂટ સુધી પાણી ભરાઈ છેકાદરસાની નાળ વિસ્તારમાં વર્ષોથી એક જ કહાની પુનરાવર્તિત થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સામાન્ય વરસાદમાં પણ અહીં 1થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. જ્યારે ફ્લડ ગેટ બંધ કરવામાં આવે ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે અને લોકો પોતાના જ ઘરમાં એક-બે દિવસ સુધી કેદ થઈ જાય છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજ દિન સુધી આનું કોઈ કાયમી નિદાન કર્યું નથી. દર વર્ષે માત્ર આશ્વાસનો જ મળે છે. પીવાનું ગંદુ પાણી, રસ્તાઓ તૂટેલાને ધૂળ-કચરાના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાનછેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. વિકાસના નામે શરૂ થયેલી આ કામગીરી હવે વિનાશક ભાસી રહી છે. ઠેર-ઠેર ખોદકામને કારણે નળ અને ગટરની પાઇપલાઇનો વારંવાર ડેમેજ થાય છે, જેના કારણે પીવાનું ગંદુ પાણી આવે છે. રસ્તાઓ તૂટી ગયા છે અને ધૂળ-કચરાના સામ્રાજ્ય વચ્ચે લોકો મચ્છરોના ત્રાસથી બીમાર પડી રહ્યા છે. અનેક જગ્યાએ 50% કામ પણ પૂર્ણ થયું નથી, જેના કારણે ટ્રાફિક અને અવરજવરની મોટી સમસ્યા ઊભી થઈ છે. 'પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા'નાનપુરાના રહેવાસી સંગીતાબેન ડુમ્મસવાળાએ જણાવ્યું કે, ચોમાસામાં તો અહીંથી નીકળવું પણ મુશ્કેલ છે. કાદવ-કીચડમાં ગાડીઓ સ્લીપ થઈ જાય છે. મેટ્રોવાળા ગમે ત્યારે ડ્રેનેજ લાઈન તોડી નાખે છે, જેના કારણે 3-4 દિવસ સુધી પાણીની તકલીફ વેઠવી પડે છે. SMCમાં અનેક ફરિયાદો કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી. પાંચ વર્ષ સુધી કોઈ નેતા સુખ-દુઃખ પૂછવા નથી આવ્યા, હવે ચૂંટણી આવશે એટલે વોટ માંગવા લાઈન લગાવશે. 'અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા, તેઓ ક્યારેય આવ્યા જ નથી'બીજી તરફ મધુબેન નામના રહીશે જણાવ્યું કે, પાણી ભરાઈ જવાથી અમારે લારી બંધ રાખવી પડે છે, સામાન પલળી જાય છે અને આર્થિક નુકસાન વેઠવું પડે છે. અમે તો કોર્પોરેટરના નામ પણ નથી જાણતા કારણ કે તેઓ ક્યારેય આવ્યા જ નથી. 'અમે નરકાગાર જેવી સ્થિતિમાં રહીએ છીએ'કિશોરભાઈએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું કે, કોર્પોરેટર અશોકભાઈ રાંદેરીને ઓળખીએ છીએ, પણ તેઓ ક્યારેક જ દેખાય છે. બાકીના ત્રણ કોર્પોરેટરોએ તો ક્યારેય આ મહોલ્લામાં પગ પણ મૂક્યો નથી. ચૂંટણી પતી એટલે નેતાઓ માટે જનતા પતી ગઈ!. 'ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે'જલ્લુંબેન જેવી અનેક મહિલાઓએ પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, નળમાં ગંદુ પાણી આવે છે. ચોમાસામાં તો ખાટલા પર બેસીને દિવસો કાઢવા પડે છે કારણ કે જમીન પર પાણી અને મચ્છરોનું જોર હોય છે. અમારી પાસે કોઈ નેતા આવતા નથી. ચૂંટણી કાર્ડ ન હોવાને કારણે અમારો અવાજ પણ કોઈ સાંભળતું નથી. વિસ્તારમાં ગંદકી અને કાદવને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો મિજાજ: 'કામ નહીં તો વોટ નહીં'વોર્ડ નંબર 21 ના લોકો હવે આરપારના મૂડમાં છે. વિકાસના પોકળ દાવાઓ અને મેટ્રોની ગોકળગતિની કામગીરી વચ્ચે સામાન્ય માણસ કચડાઈ રહ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે જો વર્ષો જૂની પાણીની સમસ્યા અને રસ્તાના કામો નહીં થાય, તો આગામી ચૂંટણીમાં નેતાઓને આકરા સવાલોનો સામનો કરવો પડશે. 'દિવ્ય ભાસ્કર'ના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થયું છે કે સુરતનો આ હિસ્સો સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ સુવિધાઓથી વંચિત છે.
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-10માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-10માં નવા સમાવિષ્ઠ થયેલા ભાયલી ગામનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા વિકાસ પામી રહેલા ગોત્રી સેવાસી રોડનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. ગંદા પાણી, ડ્રેનેજ અને ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાનવડોદરા શહેરના જાણીતા ઇસ્કોન મંદિરથી શરૂ થતાં વોર્ડ નંબર-10ના લોકો હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સ્થાનિક રહીશોને હજી પણ ગંદુ પાણી, ડ્રેનેજ, ઉબડખાબડ રસ્તાની સમસ્યાઓ સતાવી રહી છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત મૌખિક, લેખિત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નો ઉકેલાતા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા અમે તાંદલજા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં રોજ અડધો કલાક પાણી આવે છે, એમાં પણ ગટર મિશ્રીત પાણી આવે છે. જેના કારણે આખા વિસ્તારમાં બીમારીના વાવર છે. નાના બાળકોથી માંડી વૃદ્ધ સુધી તમામ લોકો બીમાર છે. આ ઉપરાંત તાંદલજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી પણ લોકો પરેશાન છે. રસ્તાઓ પર ગટરોના પાણી ફરી વળ્યા છે. જેની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જાય છે. આ ઉપરાંત નજીકમાં જ આવેલી તલાવડીમાં ગટરના પાણી છોડાતા મચ્છરોને કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. આટઆટલી સમસ્યાઓ છતાં ભાજપના એકપણ કોર્પોરેટર આ વિસ્તારમાં ફરકતા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો ગોત્રી વિસ્તારમાં ગટરના પાણી છોડવામાં આવતા આસપાસના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 'ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવી જતા રહે છે પછી કોઈ નેતા આવતા નથી'તાંદલજા વિસ્તારના સ્થાનિક રહીશ આમેદાબેન કુરેશીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી માત્ર અડધો કલાક જ આવે છે, એ પણ ચોખ્ખુ પાણી આવતુ નથી. 20 મિનિટ પણી ગંદુ આવે છે. 10 મિનિટમાં શું ભરવાનું અને વાપરવુ. અહીં ગરીબ માણસો રહે છે. કોઇ રિક્ષા ચલાવે છે, કોઇ નાનુ મોટું કામ કરીને ઘર ચલાવે છે. અમારા ગરાસીયા વાડમાં પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી અમારી માંગણી છે. અહીં કોઇ નેતા દેખાતા નથી. અહીં કોઇ જોવા આવતા નથી. ચૂંટણીમાં વોટની જરૂર હોય ત્યારે આવે છે, ચૂંટણીમાં નાસ્તા પાણી કરાવીને જતા રહે છે. પછી પૈસા કમાવવા ખુરશી પર બેસી જાય છે. આ લોકો પૈસા કમાવવા જ બેઠા છે. ગંદું પાણી પીવાના કારણે ઘરે ઘરે લોકો બીમાર છે- રેશ્માબેનસ્થાનિક મહિલા રેશ્માબેને જણાવ્યું હતું કે, આખા તાંદલજા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. આ બોટલમાં જોઇ શકો છો કે, આ કેવુ ગંદુ પાણી છે. અમે અનેકવાર કોર્પોરેશનમાં અરજી આપી છે, તેમ છતાં કોઇ જોવા આવતુ નથી, કોઇ ધ્યાન આપતુ નથી અને પછી વોટ લેવા માટે આવે છે. અમે હવે નેતાઓને અમારા વિસ્તારમાં એન્ટ્રી આપીશુ નહીં અને વોટ પણ આપીશું નહીં. એક બાળકી ગંદુ પાણી પીને બીમાર થઈ ગઈ છે. અહીં દરેક ઘરમાં લોકો બીમાર છે. સામાજિક કાર્યકર અશ્ફાક મલેકે જણાવ્યું હતું કે, આ લીમડી ફળિયામાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે અને અનેક વખત રજૂઆતો કરી છે. પણ કંઇ પરિણામ મળ્યું નથી. અહીં પાણી અને ગટરની લાઇનમાં કોન્ટામિનેશન થાય છે. પાણી અને ગટરની લાઇનને નવી નાખીને સમસ્યાને દૂર કરવી જોઇએ,એવી અમારી માંગણી છે. આખા તાંદલજા વિસ્તારમાં પાણી, ગટર, રોડ રસ્તા, સાફ સફાઇની સમસ્યા છે. અહીં આખા મહોલ્લામાં તમામ લોકો બીમાર છે. લોકો કમળાની બીમારીથી પીડાઇ રહ્યા છે. કમળો ગંદા પાણીથી થાય છે. અહીંના લોકો ચોખ્ખુ પાણી માંગી રહ્યા છે. સ્થાનિક રશિદાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી તો હાલત એવી છે કે, ઘરવેરો ભરવાનો, નળવેરો ભરવાનો અને પાણી તો મોટરથી ભરવાનું. કોઇ દિવસ નળમાં પાણી આવતુ નથી. અમે અનેક વખત રજૂઆતો કરી પણ કોઇ આવતુ નથી, નેતાઓ માત્ર મત લેવા માટે આવે છે. બાકી કોઇ દેખાતુ નથી. હવે અમે કોઇ મત આપવાના નથી. અહીં મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે. ઘરે ઘરે લોકો બીમાર છે. સ્થાનિક રિઝવાના કુરેશીએ જણાવ્યું હતુ કે, અમારા ઘરમાં એક બહેન બીમાર છે. આ અમે આવું ગંદુ પાણી પીએ છીએ. જેથી અમે બીમાર થઈ રહ્યા છે. અમને માત્ર ચોખ્ખુ પાણી જોઇએ છે. બીજુ અમારે કંઇ જોઇતુ નથી. અમે વેચાતુ લાવીને પાણી પીએ છીએ. સ્થાનિક મયંક સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં તળાવ પાસે કાંસમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. જેના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. અહીં ગામના ચોતરે કોઇ બેસી શકતા નથી અને લોકો બીમાર થઈ રહ્યા છે. આ કાંસને પુરવામાં આવે તેવી અમારી માંગણી છે. નેતાઓ કોઇ અહીં ફરકતા નથી અને અમારું કોઇ સાંભળતુ નથી. વાસણા તળાવમાં મગરનો વસવાટ હોવા છતા ફેન્સિંગનો અભાવતાંદલજા બાદ દિવ્યભાસ્કરની ટીમ વાસણા ગામ ખાતે પહોંચી, જ્યાં વાસણા તળાવ પણ ગંદકીથી ખદબદી રહ્યું છે. અહીં તળાવમાં મગરોનો વસવાટ છે. તેમ છતાં ફેન્સિગ કરવામાં આવી નથી. જેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારબાદ ગોત્રી તળાવ ખાતે ગયા તો ત્યાં ગંદકી કરવી નહીં તેવા બોર્ડ લાગ્યા છે, પણ ખુદ કોર્પોરેશન જ ગંદુ પાણી તળાવમાં છોડી રહ્યુ છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પણ જરુરિયાતો પૂરી ન થઈ- કોંગ્રેસ વોર્ડ પ્રમુખવડોદરાના વોર્ડ નં-10ના કોગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. લોકોએ વિશ્વાસ કરીને ખોબે ખોબે મત તો આપ્યા પણ લોકોની પ્રાથમિક જરૂરીયાતો પુરી થઈ શકી નથી. વાસણા તળાવના બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા, પણ બ્યુટિફિકેશન તો માત્ર કાગળ પર જોવા મળી રહ્યું છે. વાસણા તળાવમાં મગરો છે, જેથી લોકો તેનો ભોગ ન બને તે માટે તળાવની ફરતે ફેન્સીંગ કરવી જોઇએ. અમે કોંગ્રેસે રજૂઆત કરતા જળકુંભી તો હટાવી છે, પણ ગંદકી તો યથાવત છે. અહીં બાજુમાં સ્કૂલ આવેલી છે, બાળકો રમતા રમતા તળાવમાં પડી જાય, તો તેના માટે જવાબદાર કોણ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ મોટા મોટા વાયદાઓ કરે છે. સ્વચ્છતાના નામે અભિયાનો કરે છે. એ માત્ર ફોટો શેસન જ છે. શહેરમાં કોઇ એ એવો રસ્તો નહીં હોય જ્યાં રસ્તો ખોદેલો નહીં હોય. આ ભ્રષ્ટાચાર કરવાની નીતી છે. શહેરમાં માત્ર 2થી 4 ઇંચ વરસાદમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને પૂર આવી જાય છે. આ લોકોએ પોકળ વાયદાઓ જ કર્યાં છે અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. આ ભ્રષ્ટાટાચારી પાર્ટીને ઝાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન તળાવની ફરતે વોકિંગ કરતા લોકો માટે 5થી 10 રૂપિયા વસુલવાની વાત કર છે, પણ કોઇ સુવિધા આપતુ નથી. ગોત્રી તળાવમાં ગટરનું પાણી ઠલવાઇ રહ્યું છે. લોકો તળાવ પાસે આરોગ્ય સુધારવા માટે આવે છે, પણ લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પેવર બ્લોકની કામગીરીમાં અમારી સાથે ઓરમાયું વર્તન થાય છે- તરુબેનગોત્રી વિસ્તારમાં રહેતા સ્થાનિક તરુબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે ગોત્રી વિસ્તારમાં રહીએ છીએ. અમારા અયોધ્યાનગરમાં પેવર બ્લોક નાખ્યા નથી. અમારી સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે. અમારે ત્યાં પાણી ડહોળુ આવે છે. ગટરો ઉભરાય છે. રસ્તાઓ તૂટી ગયા છે. અહીં ગોત્રી પાણીની ટાંકી સુધી જતા કમર તૂટી જાય છે અને અકસ્માતો થાય છે. ભાજપવાળા અમારું કંઇ સાંભળતુ નથી. સ્થાનિક રાજેશ્વરીબેને જણાવ્યું હતું કે, અમારે ત્યાં પાણી દુર્ગંધ મારતુ આવે છે. અમે અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોઇ સાંભળતુ નથી. કોર્પોરેટરો આવે છે અને જતા રહે છે. માત્ર વોટ લેવા આવે છે. કોઇ કાર્યક્રમ હોય તો સ્વચ્છતા થાય છે, પણ ગંદકી જ હોય છે. સ્વચ્છતાના નામે માત્ર નાટક થાય છે. સ્થાનિક મનિષાબેને જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં સામાન પણ ખરાબ થાય છે. અમે ઘણી વખત રજૂઆતો કરી છે, પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારા વિસ્તારના કોર્પોરેટરો તો અહીં અમારી સમસ્યા જોવા માટે પણ આવતા નથી. ખરાબ રસ્તાના કારણે વેપાર અડધો થઈ ગયો-દુકાનદારગોત્રી વિસ્તારના વેપારી જગદીશ ભાટીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન વાળાએ રોડ પર ખાડા કરી દીધા છે, જેના કારણે એમાં બાઇકવાળા પડી ગયા હતા. આ ઉપરાંત અમારા ધંધા પડી ભાંગ્યા છે. હું આ દુકાનનું ભાડુ 12 હજાર રૂપિયા ચુકવુ છું, પણ 6 હજારનો પણ ધંધો થતો નથી. અમે કઇ રીતે જીવીએ છીએ, એ તો ભગવાન જ જાણે છે. અમને બે ટાઇમ ખાવાના પણ ફાંફા થઈ ગયા છે. લાઇટ બિલ અને વેરા બિલ ભરવાના પૈસા પણ નથી. 2 મહિના કરતા વધુ સમયથી કામ ચાલે છે. જલદી કામ પુરુ થાય તો અમારો ધંધો ચાલી શકે તેમ છે. મારા વિસ્તારમાં અઢળક વિકાસ કામો થયા- નીતિન દોંગાભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં મારા વિસ્તારમાં પ્રજાલક્ષી અનેક અઢળક કામગીરી કરવામાં આવી છે. જેમાં ભાયલી વિસ્તારમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી છે. ડ્રેનેજની સુવિધા સુધારવા માટે 1600 ડાયામીટર સુધીની નવી ડ્રેનેજ પાઈપલાઈનો નાખવાનું કામ હાલ કાર્યરત છે. લાલગુરુ સર્કલથી પ્રિયા ટોકીઝ, ગોત્રી મેઈન રોડ અને વાસણા મેઈન રોડ સહિત કુલ 5 મુખ્ય રસ્તાઓ માટે અંદાજે ₹20 કરોડ ના ખર્ચે નવા રોડ બનાવવામાં આવ્યા છે. ભાયલી જેવા નવા વિકસિત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિવારવા માટે માત્ર છેલ્લા એક જ વર્ષમાં 27 કરોડથી વધુના ખર્ચે વરસાદી ચેનલો બનાવવામાં આવી છે. તાંદલજા જેવા વિસ્તારોમાં હજુ પણ ગંદા પાણી અને ગટરની સમસ્યાઓ જોવા મળે છે, તે બાબતે તમારું શું કહેવું છે? તે બાબતે તેઓએ કહ્યું હતું કે, તાંદલજા વિસ્તાર અંગે મારી પાસે અત્યાર સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ આવી નથી, એટલે એ બાબત અત્યારે મારા ધ્યાનમાં નથી. આ ઉપરાંત ગોત્રી અને વાસણા બંને તળાવની શુદ્ધતા જળવાઈ રહે તે માટે અમે ત્યાં બાયપાસ ડાયવર્ટ લાઈનો નાખી છે, જેથી ગંદુ પાણી તળાવમાં જતું અટકે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વીસનગરના ઉમતા ગામે આવેલા જૈન દેરાસરમાં રાતના સમયે 7થી 8 લૂંટારૂં ત્રાટક્યા હતા અને 2 ચોકીદારને માર મારીને ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરી હતી. આ મૂર્તિ 1500 વર્ષ જૂની હતી. જેની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાતું હતું. એ સમયે CCTV કે બીજા કોઇ સગડ ન મળતા પોલીસ પાસે કોઇ કડી નહોતી. બીજીતરફ લૂંટારૂં ન પકડાતા જૈન મુનિએ ઉપવાસ ચાલુ કર્યા હતા. જેના કારણે ગુજરાત સરકાર પર દબાણ વધ્યું હતું અને SITની રચના કરવી પડી હતી. SITએ ટેકનિકલ ડેટાના આધારે તપાસ આગળ વધારી હતી. શરૂઆતના એક-દોઢ મહિના સુધી તો પોલીસના હાથ ખાલી રહ્યા હતા. હવે આગળ વાંચો.... ટેકનિકલ એનાલિસિસ પોલીસ માટે મહત્વનું સાબિત થવાનું હતું. પોલીસે લાખો મોબાઇલ નંબરની ચકાસણી કરી.જેમાંથી ફક્ત એક જ શંકાસ્પદ નંબર મળ્યો. આ મોબાઇલ નંબર દેરાસરમાં લૂંટ થઇ તેના આગલા દિવસે સવારે 9 વાગ્યાના અરસામાં જયપુરથી બંધ થયો અને અંબાજીમાં ચાલુ થયો હતો. તેમાં રોમિંગનો એક SMS આવ્યો હતો અને તરત વળી પાછો મોબાઇલ બંધ થઇ ગયો હતો. મોબાઇલમાં SMS આવ્યો અને તે બંધ થયો એ દરમિયાન મોબાઇલ અંબાજીમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું. જે રાત્રે મૂર્તિની લૂંટ થઇ તેના પહેલા રોમિંગનો મેસેજ આવ્યો હતો. આ નંબર બીજા દિવસે સવારે જયપુર પાસે ચાલુ થયો હતો. પોલીસે આ શંકાસ્પદ નંબરની કોલ ડિટેઇલ કઢાવી અને નામ-સરનામું મેળવ્યું હતું. આ નંબર રાજસ્થાનના દોસા જિલ્લામાં રહેતાં શિવચરણ મીણા નામની વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસે ચોકીદારોની પૂછપરછ અને મોબાઇલના માલિકના એડ્રેસની કડી મેળવી. ચોકીદારોએ જણાવ્યું હતું કે લૂંટારૂંઓ હિન્દી બોલતા હતા અને મોબાઇલ રાજસ્થાનમાં એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું એટલે પોલીસને આ કેસમાં રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાની વધુ એક કડી મળી ગઇ હતી. જેથી તપાસ આગળ વધવાની આશા જન્મી હતી.જે.ડી.પુરોહિતે શિવચરણનો મોબાઇલ નંબર ક્રાઇમ બ્રાન્ચમાં સુપરવિઝનમાં રાખ્યો હતો. જેના પર દિલીપ ઠાકોર નજર રાખી રહ્યાં હતા. શંકાસ્પદ નંબર વિશે ખબર પડ્યા બાદ મહેસાણા LCBની ટીમ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI જે.ડી.પુરોહિત દોસા જવા રવાના થયા. પોલીસે જયપુરથી અંદાજે 65 કિલોમીટર દૂર આવેલા દોસા જિલ્લાના છેવાડે આવેલા સાદપર ગામે પહોંચવાનું હતું. ગુજરાત પોલીસની ટીમ પહેલા દોસા પહોંચીને સ્થાનિક SPને મળી હતી. તેમણે ગુજરાત પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપ્યો. ગામમાં તપાસ કરાવી તો ખબર પડી કે શિવચરણ મીણા ઉર્ફે છપ્પન મૂલ્યારામ સામે લૂંટ, ખૂન, ધાડ અને આર્મ્સ એક્ટ સહિતના 35 જેટલા ગુના નોંધાયેલા છે. તેની પત્ની આ જ ગામની સરપંચ છે. 35 જેટલા ગુના નોંધાયેલા હોવાથી શિવચરણ અઠંગ ગુનેગાર હોવાનું નક્કી હતું. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળના ગુના પણ નોંધાયેલા હોવાથી એવી પૂરેપૂરી શક્યતા હતી કે તે પોતાની પાસે હથિયાર રાખતો હોય. તેની પત્ની ગામની સરપંચ હતી એટલે તે રાજકીય વગ ધરાવતો હોવાનું પણ નક્કી હતું. આવા આરોપીને આસાનીથી પકડી ન શકાય એટલે પોલીસે શિવચરણને પકડવા માટે ખાસ પ્લાન બનાવ્યો. પોલીસે સૌથી પહેલાં ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને શિવચરણ વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું. સાદપર ગામની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણવા પોલીસ તેનાથી વીસેક કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં રોકાઇ હતી. રોજ સવાર પડે એટલે ખાનગી વાહન અને ખાનગી ડ્રેસમાં પોલીસ ગામની આસપાસ તપાસ કરવા જાય. પોલીસને ગામમાંથી ખબર પડી હતી કે આરોપી પોતાની પાસે 1-2 હથિયાર રાખે છે. તેની સાથે 3 કે 4 જણાં સતત રહેતાં હતા. શિવચરણ ખુલ્લી જીપ લઇને ફરતો હતો અને જીપની આગળ સરપંચ લખેલું હતું. શિવચરણ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા હતા તે પોલીસ સ્ટેશન ગામથી 8 કિલોમીટર જ દૂર હતું. તેણે આચરેલા 35 ગુનામાંથી આ જ પોલીસ સ્ટેશનના 25 ગુનામાં તે વોન્ટેડ હતો. જ્યારે સ્થાનિક પોલીસ બીજા કોઇ આરોપીને પકડતી ત્યારે તેને છોડાવવા ખુદ શિવચરણ જ પોલીસ સ્ટેશન જતો તેમ છતાં સ્થાનિક પોલીસ તેને પકડવાની હિંમત નહોતી કરતી. આટલી તેની ધાક હતી. આ હકીકત જાણ્યા બાદ ગુજરાત પોલીસને ખ્યાલ આવી ગયો કે જો શિવચરણને પકડવો હોય તો તેના માટે 10થી 15 પોલીસકર્મીઓની ટીમ હોવી જરૂરી હતી. પોલીસને વધુ એક ગુપ્ત માહિતી મળી કે શિવચરણને એક શિક્ષિકા સાથે સારો સંબંધ હતો. આ શિક્ષિકા નજીકના ગામમાં રહેતી હતી અને ગામના વિદ્યાર્થીઓને ભણાવતી હતી. શિવચરણ ઘણીવાર આ શિક્ષિકાને એકલો મળવા જતો હતો. આ એક જ પોઇન્ટ એવો હતો જેમાં પોલીસ સાથે શિવચરણની અથડામણ થવાની શક્યતાઓ ઘટી જતી હતી. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે શિક્ષિકાની સ્કૂલનો સમય સવારનો હતો. બપોરે 12:30 વાગ્યા આસપાસ તે સ્કૂલેથી છૂટે એટલે શિવચરણ તેને રસ્તામાં મળીને પાછો ગામમાં આવતો રહેતો હતો એટલે આ જ સમય એવો હતો કે જેમાં તે એકલો હોય ત્યારે પોલીસ તેને પકડી શકે. જો કે શિવચરણ એકલો હોય તો પણ પોતાની પાસે 1-2 હથિયાર તો રાખતો જ હતો. તત્કાલીન PI જે.ડી.પુરોહિતે આ બધી વાત જાણીને પોતાની ટીમના સભ્યો અને SITના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વાકેફ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે ચર્ચા-વિચારણાં કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તે વખતના PI અને હાલ રાજ્યના પ્રિઝન ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ (DySP) તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્ર યાદવને તેમની ટીમ સાથે દોસા મોકલ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI અને હાલના DySP પરેશ સોલંકીની બીજી ટીમ તપાસ માટે રાજસ્થાનમાં જ હતી. તેમને પણ મદદ માટે પહોંચી જવા સૂચના આપી હતી. સૂચના મુજબ ત્રણેય ટીમ દોસાના SPને ત્યાં ભેગી થઇ હતી અને ચર્ચા કરી રહી હતી. તે જ વખતે જે.ડી. પુરોહિતને બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે શિક્ષિકાએ આરોપી શિવચરણને પોતાને ફાયરિંગ કરવાનું શીખવાડવાની વાત કરી હતી. જેથી શિવચરણ તે શિક્ષિકાને સૂમસામ જગ્યાએ ફાયરિંગ કરાવવા લઇ જવાનો હતો. હવે પોલીસે શિવચરણને પકડી લેવા વ્યૂહરચના ગોઠવી. જે.ડી.પુરોહિત ગામની ભૌગોલિક સ્થિતિથી વાકેફ થઇ ગયા હોવાથી તેમણે કાગળ પર આખો મેપ બનાવીને બીજી બન્ને ટીમને સમજાવી દીધું હતું. આના પછી પોલીસની 3 ગાડીઓ તૈયાર કરાઇ હતી. એક ગાડીમાં જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવ તથા બીજા બે કોન્સ્ટેબલ વિજય અને સ્થાનિક કોન્સ્ટેબલ હતો. બીજી ગાડી મહેસાણા પોલીસની હતી અને ત્રીજી ગાડી તત્કાલીન PI પરેશ સોલંકીની હતી. ત્રણેય ગાડીઓ અલગ અલગ દિશામાં રવાના થઇ હતી. આ સમયે પોલીસ પાસે આરોપીનો ફક્ત એક જ ફોટો હતો. જેનાથી તેની ઓળખ થઇ શકે તેમ હતી. આ દરમિયાન શિવચરણે શિક્ષિકાને ફાયરિંગ કરાવીને તેને સ્કૂટી પર રવાના કરી દીધી હતી પછી તે નજીકના ગામના સરપંચને મળવા ગયો હતો. સરપંચને મળ્યા બાદ તે ત્યાંથી તેના મિત્ર સાથે બાઇક પર પોતાના ગામ આવવા નીકળ્યો હતો. આ સમયે જે.ડી.પુરોહિતની ટીમે તેને સામેથી આવતો જોઇ લીધો હતો. જીતેન્દ્ર યાદવ કાર ચલાવતા હતા. બન્નેએ અંદરોઅંદર ચર્ચા કરી કે જો શિવચરણને રોકવા જઇશું તો કદાચ સામસામે ફાયરિંગ ચાલુ થઇ જશે. ટીમમાં જે બીજા બે કોન્સ્ટેબલ્સ છે તેમની પાસે કોઇ હથિયાર નથી. સામે શિવચરણ અને તેનો મિત્ર એમ બે જણાં છે. જો બન્ને પાસે હથિયાર હોય તો તે છટકી જાય તેવા ચાન્સ વધુ રહે. આના પછી જે.ડી.પુરોહિત અને જીતેન્દ્ર યાદવે ગાડીમાં જ નવો પ્લાન બનાવી લીધો અને શિવચરણને ટક્કર મારવાનું નક્કી કરી લીધું. કાર હંકારવામાં માસ્ટર જીતેન્દ્ર યાદવે શિવચરણની બાઇકને સામાન્ય ટક્કર મારી. કારની ટક્કર વાગે એટલે સ્વભાવિક છે કે કોઇપણ બાઇકચાલક 8-10 ફૂટ ઉછળીને દૂર પડે. શિવચરણ સાથે પણ એવું જ થયું. તે અને તેનો મિત્ર 8-10 ફૂટ ઉછળીને પડ્યાં. આના પછી જે.ડી.પુરોહિત અને બીજા 2 કોન્સ્ટેબલ્સ ચિત્તાની ઝડપે ગાડીમાંથી કૂદ્યા અને આરોપી પાસે દોડી ગયા. અહીં તેમની અને આરોપી વચ્ચે ઝપાઝપી થઇ. જેમાં જે.ડી.પુરોહિતનો શર્ટ ફાટી ગયો હતો પણ શિવચરણ પાસેનું હથિયાર ઝૂંટવી લેવામાં તેમને સફળતા મળી હતી. આ તરફ જીતેન્દ્ર યાદવની ગાડી નજીકના સાતેક ફૂટ ઊંડા ખાડામાં પડી ગઇ. ગાડીના આગળના બે વ્હીલ ખાડામાં જતાં રહ્યાં અને પાછળના બે વ્હીલ ખાડાની બહાર હતા. છતાં હિંમત કરીને જીતેન્દ્ર યાદવ ગાડીમાંથી કૂદીને આરોપી પાસે દોડી આવ્યા. બધાએ ભેગા મળીને બન્ને આરોપીને પકડીને બુરખો પહેરાવી, હાથકડી બાંધીને ગાડીમાં બેસાડી દીધા. આ દૃશ્ય ત્યાંથી પસાર થઇ રહેલા એક સ્થાનિક વ્યક્તિએ જોઇ લીધું. તે સ્થાનિક વ્યક્તિ શિવચરણને ઓળખતો હતો. જ્યાં આ ઘટના ઘટી ત્યાંથી સાદપર ગામ 700 થી 800 મીટર જ દૂર હતું. તેણે ગામમાં જઇને વાત કરી કે શિવચરણને કોઇ સાથે ઝઘડો થયો છે એટલે ગામમાંથી 8થી 10 લોકો ધારિયા, લાકડાંના ધોકા લઇને જ્યાં આ ઘટના ઘટી હતી ત્યાં આવવા નીકળ્યા હતા. આ તરફ આરોપીને ગાડીમાં બેસાડ્યા બાદ જીતેન્દ્ર યાદવ સ્ટિયરિંગ પર ગોઠવાઇ ગયા. દોસાનો સ્થાનિક કોન્સ્ટેબલ ગાડી પાસે બહાર ઊભો રહી ગયો હતો પણ ગાડીના આગળના બે વ્હીલ તો ખાડામાં હતા અને ખાડામાં કાંટા હતા. છતાં જીતેલી બાજી હારી ન જવાય અને ગુનેગારો છટકી ન જાય તે માટે જે.ડી. પુરોહિત અને કોન્સ્ટેબલ વિજય બોનેટ ઊંચું કરવા ખાડામાં ઉતર્યાં હતા. જીતેન્દ્ર યાદવે ગાડીને રિવર્સ લીધી અને એક્સીલેટર પર પગ દબાવ્યો. તરત જ ગાડી ખાડામાંથી બહાર નીકળી ગઇ. જો કે આ ટીમની સામે એક વધુ આફત આવીને ઊભી હતી. ગામમાંથી ધારિયા, લાકડાંના ધોકા લઇને નીકળેલું ટોળું એકદમ નજીક આવી પહોંચ્યું હતું. જેવું ટોળું ગાડી પાસે આવ્યું કે બહાર ઊભા રહેલા કોન્સ્ટેબલે 4-5 વ્યક્તિને મારીને નીચે પછાડી દીધા. હવે પોલીસને તરત જ ત્યાંથી નીકળી જવાની તક મળી. બહાર ઊભેલો કોન્સ્ટેબલ ગાડીમાં ગોઠવાયો અને જીતેન્દ્ર યાદવે ગાડી હંકારી મૂકી. ગાડીને ભાગતા જોઇ ટોળાંએ તેના પર પથ્થરમારો પણ કર્યો પરંતુ કોઇને ઇજા ન પહોંચી. થોડી જ ક્ષણોમાં પોલીસની ગાડી દોસા તરફ દોડી રહી હતી. રસ્તામાંથી અન્ય ટીમને પણ ઓપરેશન પૂરૂં થયા અંગેની જાણ કરી દીધી. પોલીસે જ્યારે બીજી ટીમને જાણ કરી ત્યારે વાતચીત પરથી શિવચરણને ખબર પડી ગઇ કે આ તો ગુજરાત પોલીસ છે. બાદમાં જ્યારે તેને દોસા SP ઓફિસે લવાયો અને SPએ સામે બેસાડ્યો ત્યારે તેણે સામેથી જ કહી દીધું કે મૂર્તિ વરધીચંદે ચોરી છે અને મથુરામાં છે. કોઇએ પૂછ્યું નહોતું છતાં તેણે સ્વીકારી લીધું એટલે ગુજરાત પોલીસ પણ ચોંકી ઉઠી. આ દરમિયાન SITના અધિકારીઓને ખબર પડી કે શિવચરણ પકડાઇ ગયો છે એટલે વરધીચંદ મૂર્તિ સગેવગે ન કરી દે તે માટે તેમના તરફથી સૂચના આવી કે રાજસ્થાન ગયેલી ગુજરાત પોલીસની ટીમ તરત જ મથુરા પહોંચે અને મૂર્તિનો કબજો લઇ લે. જેથી પોલીસ રાત્રે જ દોસાથી મથુરા જવા નીકળી હતી. દોસાથી મથુરાનું અંતર અંદાજે 164 કિલોમીટર જેટલું હતું. વહેલી સવારે 4-5 વાગ્યે તો પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ. શિવચરણે જે એડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચીને જોયું તો ખેતરમાં ફક્ત છાપરાં જેવું મકાન હતું. ત્યાં ન વરધીચંદ મળ્યો ન મૂર્તિ મળી. પોલીસની ટીમ ખાલી હાથે દોસા પાછી ફરી. ફરી શિવચરણની પૂછપરછ કરી. તેણે પોલીસને કહ્યું કે અમે તો મૂર્તિ ચોરીને સીધા મથુરા આવ્યા હતા અને વરધીચંદને મૂર્તિ આપીને સાદપર ગામે પાછા આવતા રહ્યા હતા. જો કે પોલીસને તેની આ વાત ગળે ન ઉતરી. જે.ડી.પુરોહિતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દિલીપ ઠાકોરને ફોન કરીને શિવચરણની કોલ ડિટેઇલ મગાવી હતી. જેમાં ખુલાસો થયો કે શિવચરણ જયપુરથી સીધો જ સાદપર ગામ ગયો હતો, તે મથુરા ગયો જ નહોતો. જો તે મથુરા ગયો હોત તો રસ્તામાં કેટલાય મોબાઇલ ટાવર્સ બદલાઇ જાય. જેથી શિવચરણ ખોટું બોલી રહ્યો હતો તે સ્પષ્ટ થઇ ગયું હતું. હવે પોલીસે શિવચરણની કડકાઇથી પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે મૂર્તિ તેણે સાદપર ગામના ખેતરમાં છુપાવી છે. શિવચરણની આ કબૂલાત બાદ પોલીસ સામે વધુ એક પડકાર આવ્યો કેમ કે મૂર્તિ મેળવવા પોલીસે શિવચરણના ગામમાં જવાનું હતું. ભૂતકાળમાં પોલીસ જ્યારે-જ્યારે તેના ગામમાં ગઇ હતી ત્યારે પોલીસ પર હુમલો થયો હતો. હવે જો શિવચરણને સાથે રાખીને પોલીસ તેના ગામમાં જાય તો ત્યારે પણ પોલીસ પર હુમલો થવાનો ભય હતો. આવી સ્થિતિમાં ફરીવાર ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરાઇ. જેથી IG ઝેબલિયાએ રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેના પછી રાજસ્થાનની ખાસ ટીમના DySPના નેજા હેઠળ 20-25 હથિયારધારી પોલીસ જવાનોની ટીમ તૈયાર કરાઇ હતી અને તેને ગુજરાત પોલીસ સાથે સાદપર ગામે મોકલાઇ હતી. રસ્તામાં ગુજરાત પોલીસને વિચાર આવ્યો કે જો શિવચરણને ગામમાં લઇ જઇએ અને ગામવાળા હુમલો કરીને તેને છોડાવી જાય તો બધી મહેનત પર પાણી ફરી વળે એટલે પોલીસે રસ્તામાં જ નક્કી કર્યું કે શિવચરણને ગામમાં જ નથી લઇ જવો. જીતેન્દ્ર યાદવની એક ટીમે સાદપર ગામથી 10 કિલોમીટર દૂર અવાવરૂં સ્થળે ગન પોઇન્ટ પર શિવચરણને બેસાડી દીધો. બીજીતરફ જે.ડી.પુરોહિત, પરેશ સોલંકી સહિતની રાજસ્થાન પોલીસની ટીમ ગામમાં પહોંચી હતી. અહીં શિવચરણની પત્નીને લઇને ખેતરમાં ગઇ. શિવચરણે જે જગ્યા કહી હતી તે જગ્યા પર ખોદ્યું પણ કંઇ મળ્યું નહીં. પોલીસને અંદાજો આવી ગયો કે શિવચરણ ફરીથી તેને ગોથે ચડાવી રહ્યો છે એટલે જે.ડી.પુરોહિતે શિવચરણ સાથે રહેલા પોલીસ અધિકારી જીતેન્દ્ર યાદવને ફોન કર્યો અને બધી વાત કરી. જીતેન્દ્ર યાદવે કડકાઇ વાપરી એટલે શિવચરણ ઢીલો પડ્યો. તેણે કહ્યું કે મારી પત્નીને ફોન આપો એટલે હું તેને સાચું લોકેશન બતાવું. જો કે હવે પોલીસ થાપ ખાય તેમ નહોતી. પોલીસે ફોન સ્પીકર પર રાખ્યો કેમ કે ત્યાં રાજસ્થાનના DySP ત્યાં હાજર હતા અને જો શિવચરણ પોતાની ભાષામાં પત્નીને કોઇ આડી અવળી વાત કરે તો તે સમજી શકે. પોલીસે વિચાર્યા પ્રમાણે જ શિવચરણે તેની પત્ની સાથે વાત કરી ત્યારે ગુજરાત પોલીસને તો કંઇ ખબર ન પડી પણ રાજસ્થાનના DySPને ખબર પડી ગઇ કે શિવચરણ તેની પત્નીને કંઇક જુદું જ કહી રહ્યો છે એટલે તેમણે ફોન કટ કરાવી દીધો અને તેની જ ભાષામાં શિવચરણની પત્ની સાથે વાત કરી. શિવચરણની પત્નીએ તેને કહી દીધું કે મૂર્તિ અહીં નથી પણ બીજી જગ્યાએ છે પણ ફક્ત તમે જ મારી સાથે આવો. જેના પછી તેઓ પાંચેક કિલોમીટર દૂર જઇને એકાદ કલાકમાં મૂર્તિ લઇને પાછા આવ્યા હતા. મૂર્તિ મળી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો અને લાવવા લઇ જવામાં મૂર્તિ ખંડિત તો નથી થઇ ગઇને તે ચેક કરી લીધું. મૂર્તિ સલામત હોવાથી ગુજરાત પોલીસ રાજસ્થાન પોલીસનો આભાર માનીને શિવચરણને પકડીને મૂર્તિ સાથે મહેસાણા પહોંચી ગઇ. ચકચારભર્યો કેસ હોવાથી ડી.જી.ઓફિસમાં જ પોલીસવડા ચિત્તરંજનસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કેસ ઉકેલાયાની જાહેરાત કરી હતી. મૂર્તિ ચોરીનો ગુનો દાખલ થયો હોવાથી ચોરીનો મુદ્દામાલ પોલીસે પોતાની પાસે રાખવો પડે પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં એટલે મૂર્તિને દેરાસરમાં મૂકીને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એકાદ સપ્તાહ બાદ કોર્ટનો હુકમ આવી જતાં પોલીસ બંદોબસ્ત હટાવી લીધો હતો. શિવચરણની પૂછપરછમાં વરધીચંદ ઠાકુર અને દરજી ભગવાનસિંહ એમ વધુ 2 આરોપીઓના નામ ખૂલ્યા હતા. વરધીચંદ મૂર્તિ ચોર છે. મોટાભાગની મૂર્તિ ચોરીમાં તેનો જ હાથ હોય છે. તે મૂર્તિ જોઇને ફોટો પાડી લેતો અને પછી તેનો સોદો કરતો હતો. ચક્રેશ્વરી માતાજીની મૂર્તિની લૂંટ કરવા માટે તેણે શિવચરણને 10 લાખ રૂપિયા અને ગેંગના બીજા સભ્યોને 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આ નક્કી થયા બાદ શિવચરણ અને બીજા આરોપીઓ લૂંટના 15 દિવસ પહેલાં ઉમતા ગામે આવીને રેકી કરી ગયા હતા. શિવચરણ અને બીજા આરોપી જ્યારે જયપુરથી ઉમતા આવવા નીકળ્યાં ત્યારે મોબાઇલ બંધ કરી દીધો હતો. સીધા અંબાજી આવ્યા હતા ત્યાં ઊભા રહ્યાં હતા. આ દરમિયાન શિવચરણે જીન્સનું પેન્ટ પહેરેલું હતું. જીન્સનું પેન્ટ હોવાથી તે ફિટ હોય તે સ્વાભાવિક છે. તેના કારણે પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ચાલુ થઇ ગયો. જેથી તેમાં રોમિંગનો મેસેજ આવ્યો હતો. મેસેજના અવાજથી શિવચરણને ખબર પડી જતાં તેણે તરત જ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો પણ ત્યાં સુધીમાં તો મોબાઇલ કંપનીના નેટવર્કમાં શિવચરણનું લોકેશન નોંધાઇ ચૂક્યું હતું. આમ મૂર્તિ ચોરવા જઇ રહેલા શિવચરણનો મોબાઇલ અંબાજીમાં ફક્ત 2 સેકન્ડ માટે ચાલુ થઇ ગયો. તેમાં આવેલા મેસેજના કારણે પોલીસને આખો કેસ ઉકેલવામાં સફળતા મળી હતી જેથી જે.ડી.પુરોહિતે મા અંબાનો મનોમન આભાર માન્યો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પણ વાંચોરાજસ્થાનના ગામડાંમાં ઘૂસીને ગુજરાત પોલીસે ફિલ્મી સ્ટાઇલથી મૂર્તિ ચોરને ઉઠાવ્યો, પાર્ટ-1
19 વર્ષ પહેલાં લાંચમાં પકડાયેલા આઈટી અધિકારીને 6 માસની કેદ
19 વર્ષ પહેલાંના કેસનો હવે ચુકાદો આવ્યો અસેસમેન્ટ ફાઈનલાઈઝ કરવાના બદલામાં ૨૦ હજાર રુપિયાની લાંચ માગી હતી મુંબઈ - ટેક્સ સિક્યોરિટી એસસમેન્ટ નક્કી કરવા માટે રૃ. ૨૦ હજારની લાંચ લેવાના ૧૯ વર્ષ જૂના કેસમાં થાણેની વિશેષ સીબીઆઈ કોર્ટે આવકવેરા ખાતાના માજી અધિકારીને છ મહિનાની સખત કેદની સજા સંભળાવી છે. સ્પેશ્યલ જજ (સીબીઆઈ) દેશમુખે આરોપી દીનાનાથ પુથરન (૭૭) પર ચાર હજારનો દંડ પણ લાદ્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. યુદ્ધના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. બીજા મોટા સમાચાર નાલંદાના મંદિરમાં મચેલી નાસભાગને લઈને રહ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થશે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે કહ્યું- અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે:અમારી પાસેથી ઓઈલ ખરીદો, નહીં તો હિંમત બતાવો અને હોર્મુઝ જઈને લઈ લો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે હવે અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે. દેશોએ પોતે જ પોતાની પરિસ્થિતિ સંભાળવી પડશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્રિટન જેવા દેશો જે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ મેળવી શકતા નથી, તેમણે અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું જોઈએ કારણ કે અમેરિકા પાસે તેની કોઈ અછત નથી. ટ્રમ્પે કહ્યું કે જો દેશો ઈચ્છે તો હિંમત બતાવે અને પોતે હોર્મુઝ સ્ટ્રેટ જઈને ઓઈલ લઈ લે. અમેરિકા તેમની મદદ માટે નહીં આવે, જેમ તેઓ અમેરિકાની મદદ માટે આવ્યા ન હતા. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે ઈરાન ઘણી હદ સુધી નબળું પડી ગયું છે અને સૌથી મુશ્કેલ કામ પહેલેથી જ પૂરું થઈ ગયું છે. હવે બાકીના દેશો પોતે જઈને પોતાનું ઓઈલ મેળવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:રાષ્ટ્રપતિની સુરક્ષામાં 2500 જવાન, પરંતુ 25 હજાર શ્રદ્ધાળુઓ માટે કોઈ નહીં; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. અફરા-તફરીમાં ભીડમાં ઘણા લોકો કચડાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ, મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં થશે મોટો ફેરફાર:ટોલ પ્લાઝા કેશલેસ થશે, આજે જ પતાવો આ 4 કામ, કાલથી બદલાશે આ 10 નિયમ; તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. વાહનચાલકો માત્ર ફાસ્ટેગ અથવા UPI પેમેન્ટ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવી શકશે. આ ઉપરાંત, આજે રાત્રે 12 વાગ્યા પછી દેશમાં ટેક્સ અને બેંકિંગ સંબંધિત 3 મોટા કામોની ડેડલાઇન પૂરી થઈ રહી છે. આવતીકાલથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત 10 નિયમો પણ બદલાઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. યુદ્ધની ચિંગારી ઘર-ઘર સુધી પહોંચશે, દૂધ-કરિયાણું-સારવાર મોંઘા થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી; કોમર્શિયલ LPGની અછતથી હજારો પ્લાસ્ટિક યુનિટ બંધ પશ્ચિમ એશિયામાં વધતા તણાવે કંપનીઓની ચિંતાઓ વધારી દીધી છે. ક્રૂડ ઓઇલ અને અન્ય કાચા માલની કિંમતો વધવાથી ખર્ચ વધી રહ્યો છે અને કંપનીઓ ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. આનાથી બોટલનું પાણી, મીઠું, તેલ જેવી રોજિંદી વસ્તુઓ, AC, ફ્રિજ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને નોન-સર્જિકલ મેડિકલ આઈટમના ભાવ વધી શકે છે. કારણ એ છે કે આ યુદ્ધે પ્લાસ્ટિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવ 50-70% સુધી વધી ગયા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક દાણા LDPEના ભાવ 110 રૂ/કિલોથી 180 રૂપિયા સુધી પહોંચી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારત સહિત દુનિયાભરમાં ઈન્ટરનેટ બંધ થઈ જશે?:યુદ્ધના કારણે હોર્મુઝમાં કેબલ્સને નુકસાનની આશંકા, સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થવાથી વિશ્વભરમાં ઊર્જા સંકટ પછી હવે ઇન્ટરનેટ ઠપ્પ થવાનો ખતરો છે. તેનું કારણ એ છે કે હોર્મુઝ રૂટ પરથી માત્ર વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ અને 25% LNG પસાર થતું નથી, પરંતુ આ રૂટની નીચે ઇન્ટરનેટ કેબલ્સ પણ બિછાવેલા છે. જો આ ક્ષેત્રમાં તણાવ વધે અથવા કેબલ્સને નુકસાન થાય, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિસ્તાર માત્ર ઊર્જા ચોકપોઇન્ટ નથી, પરંતુ એક ડિજિટલ ચોકપોઇન્ટ પણ છે. સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા ઘણીવાર લોકોને લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. વિશ્વનો લગભગ 95 થી 97% ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ કેબલ્સ સમુદ્રની નીચે બિછાવેલા હોય છે. ભારતને યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા મુખ્ય કેબલ્સ આ જ રૂટ પાસેથી પસાર થાય છે. તેમાં SEA-ME-WE, AAE-1 અને EIG જેવી મોટી કેબલ સિસ્ટમ્સ સામેલ છે. ભારતને યુરોપ-આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા કેબલ્સ હોર્મુઝ રૂટ પરથી પસાર થાય છે. ભારત માટે શા માટે મોટો ખતરો છે? ભારતની ડિજિટલ ઇકોનોમી મોટાભાગે આ દરિયાઈ રૂટ્સ પર નિર્ભર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘બ્લાસ્ટ થયો ને દરવાજો તૂટીને સામેના મકાનમાં અથડાયો’:'દાઝેલા 5 લોકો રોડ તરફ ભાગ્યાં, ખૌફનાક અવાજથી અમે ધ્રુજવા લાગ્યા'; અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળે પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામે અન્ય મકાન પર અથડાયો હતો. સાથે જ આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. જે લોકો દાઝી ગયા છે તેમનો એબ્યુલન્સમાં બેઠેલો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને ભલભલાને કંપારી છૂટી જાય. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીની ભૂમિ પર દારૂની દુકાનથી વિવાદ:કોંગ્રેસે કહ્યું-ગોડસેના વિચારધારા વાળાનું કામ, ગુજરાત સરકારની પોરબંદરમાં લિકર શોપ ખોલવાની તૈયારી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. આ સાથે જ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ પરથી છે તો જાહેરાત કરે કે લિકર શોપને મંજૂરી નહીં અપાય. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેરળમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર, AIIMSનું વચન આપ્યું:વૃદ્ધો-મહિલાઓને ₹3,000 પેન્શન; આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા કબજે કરાયેલી જમીન પાછી લેવાની જાહેરાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના નામ પર હશે ફ્લોરિડા એરપોર્ટનું નામ:તેમના ઘરની નજીક જ એરપોર્ટ, પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેના કાર્યકાળમાં નામ બદલાશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : 4 વર્ષના માસૂમ સાથે હૃદય કંપાવતી ઘટના:રીક્ષામાં માર માર્યો, હવામાં ઉછાળીને માથાભેર જમીન પર પછાડ્યો, આરોપીએ અંગત વિવાદનો આ રીતે બદલો લીધો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન ગુનેગારોને સુનાવણી વિના મોતની સજા:બિલ પાસ, 90 દિવસમાં ફાંસી થશે; મંત્રીઓએ સંસદમાં શેમ્પેન ખોલીને સેલિબ્રેશન કર્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : નફાના ચક્કરમાં ગ્રાહકોને ભૂલી ગયેલી કંપની:ક્રાફ્ટ હાઇન્ઝને તોડવાને બદલે નવા સીઈઓ કૈહિલેન તેને સુધારશે; ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ભાર (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : વૈભવની રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી:ઓવરટને ધોનીનો રેકોર્ડ તોડ્યો, રોયલ્સની સૌથી મોટી જીત; રેકોર્ડ્સ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભગવાન મહાવીર જયંતિ:સફળતા, ક્ષમા અને અહંકાર મુક્તિનો માર્ગ દર્શાવતા 3 પ્રેરક કિસ્સાઓ જાણો (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગુજરાતમાં ઘોરાડના બચ્ચાને મળી Z+ સિક્યોરિટી અમદાવાદના કચ્છમાં જન્મેલા 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' એટલે કે ઘોરાડના નાનકડા બચ્ચાને Z+ જેવી સિક્યોરિટી મળી છે. આ અત્યંત દુર્લભ પ્રજાતિ છે અને ગુજરાતમાં આશરે 10 વર્ષ પછી તેનો જન્મ થયો છે. આ જ કારણે 50થી વધુ જવાનો તેની સુરક્ષા કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો નવો બોમ્બ તૈયાર:યુદ્ધનો તોતિંગ ખર્ચ વસૂલવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત 2. ભાસ્કર સિરીઝ ‘રેપ તો હુઆ હૈ સર’: આસારામના કુકર્મનો ભોગ બનેલી સગીર પીડિતાની આપવીતી સાંભળીને પોલીસ પણ થથરી ગઈ, જુઓ હચમચાવતો એપિસોડ-22 3. આજનું એક્સપ્લેનર:શું UN ઈરાન પર પરમાણુ હુમલાની તૈયારી કરે છે; UN રાજનાયિકના દાવામાં કેટલો દમ, અમેરિકા-ઈઝરાયલનો અસલી પ્લાન શું? 4. MATCH મસાલા જાડેજા RRની ટીમમાં રમ્યો ને CSKના લોગોને કિસ કરી:ચાલુ મેચમાં રડવા જેવો કેમ થઈ ગયો?; બોલ સાથે છેડછાડ કરી પાકિસ્તાનીઓની આબરૂ ગઈ 5. અંધારામાં લૂંટારૂં ત્રાટક્યાં અને ચોકીદારોને લોહીલુહાણ કરી નાખ્યા:સોનું-રૂપિયા છોડીને પ્રાચીન મૂર્તિ જ કેમ ઉઠાવી ગયા? તત્કાલીન CM નરેન્દ્ર મોદીના આદેશ બાદ SIT રચાઇ 6. ફર્ઝી વેબ સિરીઝ જોઇને ગોરખધંધા શીખ્યો:કોન્સ્ટેબલને મળેલી બાતમીએ 7 આરોપીના ઇરાદા પર પાણી ફેરવ્યું, કેવી રીતે પકડાઇ 2.20 કરોડની નકલી નોટ? 7. હમ લોગ બોન્ડા મહિલાઓ શરીરના ઉપરના ભાગે કપડાં પહેરતી નથી:લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવા પર છોકરીવાળાનું ઘર તોડી નાખે છે, મૃત્યુભોજમાં ગાયનું માંસ ખાય છે 8. 1000થી શરૂઆત, દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી:કેરળમાં આવી 46 લાખ કુડુંબશ્રી દીદીઓ, લેફ્ટના વોટમાં કેવી રીતે ગાબડું પાડશે BJP 9. સસ્પેન્સ ખુલ્યું, ધુરંધર-3 આવશે કે નહીં?:રણવીરને હમઝા બનાવનાર IB અધિકારી સાથે ભાસ્કરની વાતચીત; 'ધુરંધર'ના ગુજરાતી કલાકાર માનવનું નસીબ એક ફોનથી પલટાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિના ઘરે પારણું બંધાશે, વૃશ્ચિક જાતકોને મનગમતી નોકરી મળવાના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
આયોજન:આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરીને CCTV હેઠળ આવરી લેવાશે
ગાંધીનગરમાં હવે જાહેર સ્થળો વધુ સુરક્ષિત બનશે. મનપા દ્વારા શહેરના અલગ- અલગ 9 મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકા મુખ્ય કચેરી, પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ, કોબા જેવા અર્બન હેલ્થ સેન્ટર્સ તેમજ જાહેર લાઈબ્રેરીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 55 જેટલા આધુનિક કેમેરા (બુલેટ, ટરેટ અને PTZ) લગાવવામાં આવશે, જેનાથી સતત મોનિટરિંગ શક્ય બનશે. સાથે જ 8-ચેનલ NVR, સ્ટોરેજ સિસ્ટમ, LED મોનિટર, UPS અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તમામ જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ સંપૂર્ણ સિસ્ટમ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રહેશે જેથી દેખરેખ સરળ અને અસરકારક બને. કેમેરાના ઇન્સ્ટોલેશન ઉપરાંત ટેસ્ટિંગ, ટ્રેનિંગ અને 5 વર્ષ સુધી ઓપરેશન તથા મેન્ટેનન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે કે, એક વખત સિસ્ટમ શરૂ થયા પછી તે સતત કાર્યરત રહે તે માટે લાંબા ગાળાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી ખાસ કરીને આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સુરક્ષા વધશે, ચોરી- ચપાટી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મળશે, તેમજ કોઈ ઘટનાની તપાસમાં સચોટ માહિતી મળશે. મહાનગરપાલિકા દ્વારા 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. અહીં કેમેરા લાગશે GMC હેડ ઓફિસ (સર્વર અને સ્ટોરેજ રૂમ) પેથાપુર Urban Public Health Center (UPHC) વાવોલ UPHC સુઘડ UPHC કુડાસણ UPHC કોબા UPHC કુડાસણ લાઈબ્રેરી વાવોલ લાઈબ્રેરી રાંધેજા લાઈબ્રેરી

31 C