કઠોર સાધના:નિઃસ્વાર્થભાવે પરોપકારની પ્રવૃત્તિ કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે કરે છે સતત પરમાર્થ
ભુજ તાલુકાના મિરજાપર-મોચીરાઈ વિસ્તારમાં આવેલા આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ હેતુ પંચધુણી મહાતપ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા.7/3થી તા.16/4 સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં રાજસ્થાનના જયપુરના ઉદાસીન પંચાયતી બડા અખાડા સંપ્રદાયના સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા કઠોર સાધનામાં કરવામાં આવી રહી છે. જે બાબતે સ્વામી ચિતેશ્વરાનંદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ 2009થી વિવિધ પ્રકારના તપ, આરાધના, અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. હાલે 41 દિવસીય હઠ યોગ તપ કરી રહ્યા છે. જે તેમના ગુરૂઓ દ્વારા ચાલી આવતી પરંપરા અનુસાર વિશ્વ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કરાઈ રહ્યું છે. નિઃસ્વાર્થભાવે પરોપકાર કરીને સાધુ માનવજાતના કલ્યાણ માટે સતત પરમાર્થ કરે છે. દરરોજ માત્ર ફળાહાર પર દિવસ વ્યતીત કરતા અને બપોરે 12 થી 3 વાગ્યા સુધીના નિર્ધારિત સમયમાં આ કઠિન તપશ્ચર્યા અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. તપ થકી નવી ઉર્જા સર્જાય, આપણી ભૂમિમાં શૂરવીર અને સતી જન્મે, દેશ દુશ્મનોથી સુરક્ષિત રહે તે સાથે વિશ્વના તમામ મનુષ્યનો કલ્યાણ થાય એ ભાવ સાથે અનુષ્ઠાન ચાલતો રહેશે. સ્વામી ચિતેશ્વરાનંદે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સમયાંતરે ઠેર ઠેર એમના દ્વારા ધુણા લગાડવામાં તેમજ તપશ્ચર્યા કરવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં આટલા કઠોર તપ દરમિયાન પડતી તકલીફ બાબતે તેમણે કહ્યું કે તમે જે પ્રકારે શરીરને ઢાળવા ઈચ્છો છો એ પ્રકારે ઢળી જાય છે. તેમની સાથે આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત ચંદ્રકાંતગીરી બાપુના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો એમના ભુજના સેવક જયેશભાઈ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર જોખમ વધી ગયું છે. ત્યારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુજૈરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે અને હવે આ જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ રવાના થઈ ચૂક્યું છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, 14 માર્ચના રોજ જ્યારે ‘જગ લાડકી’ જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ક્રૂડ ઓઈલ લોડ કરી રહ્યું હતું. બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST), ‘જગ લાડકી’ લગભગ 80,800 ટન મરબન ક્રૂડ ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કચ્છના મુન્દ્રા બંદર આવવા રવાના થઈ ચૂક્યું છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે જહાજ પર સવાર તમામ ભારતીય સી-ફેરર્સ (નાવિકો) એકદમ સુરક્ષિત છે. મિડલઇસ્ટમાંથી મોટા ભાગના ભારતીય જહાજો કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરે જ આવશેબીજી તરફ, ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતીય નૌકાદળનું ‘ઓપરેશન એસ્કોર્ટ’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને આવી રહેલા ભારતના બે મોટા LPG જહાજો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ હાલમાં ઇન્ડિયન નેવીના 3 યુદ્ધજહાજોના કડક સુરક્ષા કવચ હેઠળ ભારત તરફ જ આગળ વધી રહ્યા છે.કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) ભરેલા આ બંને જહાજો 16 માર્ચ, સોમવારે કચ્છના કાંઠે પહોંચી જશે. લેટેસ્ટ સેટેલાઇટ ટ્રેકિંગ મુજબ, ‘શિવાલિક’ સોમવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટ પર અને ‘નંદા દેવી’ સોમવારે રાત્રે કંડલા (દીનદયાળ પોર્ટ) પર લાંગરશે. કચ્છના સ્થાનિક પોર્ટ પ્રશાસન દ્વારા આ વિશાળ કાર્ગોને ખાલી કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે.
ખાંભલા ઓનર કિલિંગ:આરોપી પિતા-ભાણેજ 2 દિવસ રિમાન્ડ પર
નખત્રાણા તાલુકાના ખાંભલામાં પ્રેમ પ્રકરણના કારણે બનેલા ઓનર કિલિંગના બનાવમાં આરોપી પિતા અને તેના ભાણેજને કોર્ટમાં રજુ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.હત્યા બાદ મૃતક યુવકનો ફોન તોડી નજીકમાં ફેકી દેવાયો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. છેલ્લા બે દિવસથી ચર્ચાસ્પદ બનેલા ખાંભલાના ઓનર કિલિંગના બનાવમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી.જે બાદ યુવતીની માતાને જેલ હવાલે કરી દેવામાં આવી હતી અને તેના ભાઈને જુવેનાઈલમાં મોકલી દેવાયો હતો. આ મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રવિવારે આરોપી પિતા વંકા ઉર્ફે રાજા પેના રબારી અને તેના ભાણેજ સોમા ઉર્ફે પબા સામત રબારીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીઓના મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગતો બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.પ્રેમી યુગલની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓએ યુવકનો મોબાઈલ તોડીને નજીકમાં આવેલા થોરના ઝાડમાં ફેંકી દીધો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. જ્યારે યુવતીનો મોબાઈલ સળગાવી દેવાયો હતો તે કબ્જે કરવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે,ચારેય આરોપીઓએ આયોજન પૂર્વક હત્યાના બનાવને અંજામ આપ્યો હતો.
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ કાર, જીપ અને વાન માટેના વાર્ષિક પાસની કિંમત હવે ₹3000 ના બદલે ₹3075 રાખવામાં આવી છે. આ સુધારેલો દર 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ફીમાં કરવામાં આવેલો આ વધારો નેશનલ હાઇવે ફી નિયમો–2008 હેઠળ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં લગભગ 56 લાખથી વધુ ખાનગી વાહન માલિકો ફાસ્ટેગ વાર્ષિક પાસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વાર્ષિક પાસ માત્ર બિન-વાણિજ્યિક વાહનો માટે માન્ય રહેશે. ફાસ્ટેગ ધરાવતા આવા વાહન માલિકો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર આવેલા આશરે 1,150 ટોલ પ્લાઝા પર આ સુવિધાનો લાભ લઈ શકશે. વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની ઝંઝટ ટાળવા માટે આ વાર્ષિક પાસ ઉપયોગી માનવામાં આવે છે. વાહન માલિકો ‘હાઇવે યાત્રા’ મોબાઈલ એપ અથવા NHAI ની સત્તાવાર વેબસાઈટ દ્વારા એક વખત ફી ચૂકવીને આ પાસ સક્રિય કરી શકે છે. ચુકવણી થયા બાદ લગભગ બે કલાકમાં ફાસ્ટેગ પર વાર્ષિક પાસ સક્રિય થઈ જાય છે. ભાસ્કર ઈનસાઈડરાજ્યમાં સૌથી વધુ 7 ટોલનાકા કચ્છમાં1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક પાસમાં ₹75નો વધારો લાગુ થવાના કારણે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને વાહનચાલકો પર તેની નાની તો નાની પણ અસર જોવા મળશે. રાજ્યમાં સૌથી વધુ નેશનલ હાઈવેના 7 ટોલનાકા કચ્છ જિલ્લામાં આવેલા છે, જેમાં સામખિયાળી, સુરજબારી, માખેલ, કુકમા, ભીમરાસર, ભીરંડીયાર અને મોખા ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. કચ્છમાં મોટા બંદરો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખૂબ વિકસિત છે અને અહીંથી દરરોજ હજારો ટ્રક તથા અન્ય વાહનો હાઈવે પર પસાર થાય છે. ગુજરાતમાં સૌથી વધુ આવક આપતા ટોપ ટેન ટોલનાકાઓમાં પણ કચ્છના કેટલાક ટોલનો સમાવેશ થાય છે.
કરુણાંતિકા સર્જાઈ:કેરામાં છકડાએ એકટીવાને ટક્કર મારતા 14 વર્ષિય કિશોરનું કરૂણ મોત નીપજ્યું
તાલુકાના કેરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલા કિશોરને પાછળથી આવેલા છકડાએ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ બળદિયા ગામના 14 વર્ષીય ફારુક કાસમ વેણનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.બનાવ 14 માર્ચના સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કિશોર કેરામાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલો હતો.એ દરમિયાન પાછળથી આવેલા છકડાએ તેને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. બનાવ બાદ તેને સારવાર માટે એકોર્ડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે જી.કે.જનરલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે માનકુવા પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
નગરપાલિકાની મહેકમ શાખા ફરી ચર્ચામાં:મહેકમ શાખામાં સ્ટાફ વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા ધીમી
નગરપાલિકામાં મહેકમ શાખા ફરી ચર્ચામાં આવી છે. વર્ષોથી આ શાખામાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની સંખ્યા ગોઠવવા અને યોગ્ય વહીવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ હેડ ક્લાર્કની નિવૃત્તિ બાદ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને મહેકમ શાખાની જવાબદારી સોંપાઇ છે. જોકે સૂત્રોના મતે આ પ્રકારની સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શાખા અનુભવી કર્મચારીના હાથમાં હોય તો અનેક કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પાર પડી શકે તેમ જાણકારો કહી રહ્યા છે. પાલિકામાં કેટલાક કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ પગાર લેતા હોવાની ચર્ચા છે, જ્યારે માત્ર રજીસ્ટરમાં નોંધાયેલા પરંતુ કામ પર હાજર ન રહેતા કર્મચારીઓ હોવાની ફરિયાદ પણ છે. સેનીટેશન શાખામાં પાણી, ગટર અને સફાઈ જેવી જરૂરી કામગીરી કરતા કર્મચારીઓ ઓછા અને સુપરવાઈઝરનું પ્રમાણ વધુ હોવાનું કહેવાય છે. પાલિકાના મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા પણ ધીમી છે. ભાડું પણ નિયમિત વસૂલાતું નથી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હંગામી કર્મચારીઓને છૂટા કરવાની જગ્યાએ તેમને ચાલુ રાખવાની બાબતે પણ પ્રશ્નો ઉઠ્યા છે. નિયમ મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં ત્રણ મહિના અગાઉ તેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ, પરંતુ તેમાં વિલંબ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1961થી 1975 વચ્ચે જન્મેલા કેટલાક કર્મચારીઓ હજુ પણ ફરજ બજાવે છે, જ્યારે તેઓ નિવૃત્તિની ઉંમર પાર કરી ચૂક્યા હોવા જોઈએ. આ બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. ટપાલ સંચાલન બાબતે ચીફ ઓફિસર ખફાપાલિકામાં સરકારી ટપાલોના સંચાલનને લઈને ગડબડ સામે આવતા ચર્ચા ઊભી થઈ છે. અનેક સરકારી પત્રો ડાયરી ક્લાર્ક પાસે જમા થયા હતા અને સંબંધિત વિભાગો કે મુખ્ય અધિકારી સુધી સમયસર પહોંચ્યા નહોતા. આ બાબત ધ્યાનમાં આવતા મુખ્ય અધિકારીએ અઠવાડિયાની શરૂઆતમાં જ ડાયરી ટેબલ સંભાળતા કર્મચારીઓ પાસે મૌખિક ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળે છે. મુખ્ય અધિકારીએ દરરોજની ટપાલ એ જ દિવસે સંબંધિત વિભાગ સુધી પહોંચાડવાની કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
પાલિકાએ સુખાકારીના કામોની યાદી જાહેર કરી:પાલિકાએ અઢી વર્ષમાં વિકાસ કામોની વણઝાર કરી હોવાનો દાવો
આજે 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં ભુજ નગરપાલિકાની ટીમે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી તેની યાદી બનાવવામાં આવી છે તે મુજબ ગ્રાન્ટનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને વિકાસકામોના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા કમલભાઈ ગઢવી તથા દંડક રાજેશભાઈ ગોરના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓના ચેરમેનો અને નગરસેવકોના સંકલનથી શહેરમાં વિકાસકામોના કામો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાં પાણી પુરવઠા વિભાગ હેઠળ શહેરમાં દસ નવા બોર જીવંત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે તેમજ પાણી વિતરણ સુવિધા મજબૂત બનાવવા માટે જેસીબી, ટ્રેક્ટર, છકડા અને અન્ય મશીનરી ખરીદવામાં આવી છે. નર્મદા સિવાય પણ લેર ડેમથી ભુજ સુધી પાણી લાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. અમૃત 2.0 યોજના હેઠળ પાંચ નવા સંપ બનાવવાની કામગીરી પણ ચાલુ છે. તો ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરની ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે 70 કિમી લાંબી નવી ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત પાંચ નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. ડોલર હોટેલથી ખાવડા ચોકડી અને કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. ગટર લાઇનની સફાઈ માટે રોબોટિક ડિસિલ્ટ મશીન અને જેટિંગ મશીન પણ ફાળવવામાં આવ્યા છે. સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા માટે વિવિધ સાધનો ખરીદવામાં આવ્યા છે. ગાયત્રી મંદિર રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. શહેરમાંથી 40 હજાર મેટ્રિક ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને લેગસી વેસ્ટ એવા 1,11,622 મેટ્રિક ટન કચરાના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. રોડ લાઈટ વિભાગ દ્વારા શહેરમાં અંદાજે 1900 નવી સ્ટ્રીટ લાઈટો ખરીદવામાં આવી છે તેમજ કલેકટર કચેરીથી માંડવી ઓક્ટ્રોય સુધી હેરિટેજ લાઈટો લગાવી માર્ગનું સુશોભન કરવામાં આવ્યું છે. હમીરસર તળાવ પાસે ‘થીમ રોડ’ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. બાંધકામ શાખા દ્વારા અંદાજે 35 કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરાયા છે જેમાં સીસી રોડ, ઇન્ટરલોક, બોક્સ કલ્વર્ટ અને રોડ રિસરફેસિંગનો સમાવેશ થાય છે. નગરપાલિકાની નવી ઓફિસ ‘અટલ ભવન’નું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામો મહત્વપૂર્ણહમીરસર તળાવ પાસે આરોગ્ય પથ, સ્મશાનગૃહ વિકાસ અને વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરટીઓ સર્કલનું નવીનીકરણ કરી ભુજના સ્થાપક રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. છેલ્લા અઢી વર્ષમાં શહેરમાંથી 1500 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે ભુજના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને સાચવવા માટે ટીમે સંપૂર્ણ નિષ્ઠાથી વિકાસકાર્યો કર્યા છે અને ભુજને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.
શહેરની વચ્ચોવચ આવેલો ટાઉનહોલ ભંગારવાડા સમાન ભાસી રહ્યો છે. પાલિકાની બેઠકો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, સાર્વજનિક સભાઓ વગેરે સહિતના આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવતા ટાઉનહોલમાં ઉકરડો વ્યાપી રહ્યો છે. તાજેતરમાં ભુજ પાલિકા દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં માત્ર આ વર્ષમાં જ ટાઉનહોલ દ્વારા રૂ.25 લાખ આવક પ્રાપ્ત થયાનું દર્શાવાયું છે પરંતુ તેની જાળવણી બાબતે પાલિકા દ્વારા નિરસતા કરવામાં આવી રહી છે. જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી તો, ટાઉનહોલની કાળજી રાખવા માટે રાખવામાં આવેલા લોકોના રૂમ જ ગંદકી ફેલાયેલી હતી, ટાઉનહોલની ચોતરફ અનેક જગ્યાએ ખુલા વાયર પણ પડ્યા છે. જે પણ મોટી ચિંતા સમાન છે. પાછળની બાજુએ ઘણી બધી તૂટેલી લારીઓ, બારીઓ, બારણાઓ સહિત લાકડાનો ઘણો બધો બિનઉપયોગી સમાન ખડકી રાખ્યો છે. ત્યાં જ સાથે દારૂની બોટલ પણ જોવા મળી હતી. જે દર્શાવે કે સંભવિત રાતના સમયે અસામાજિક તત્વો મહેફિલ જમાવતા હોય. સીસીટીવી સાથેની સુવિધા હોવા છતાં પણ બેકરદારી જોવા મળી રહી છે. એક બાજુએ ઓઈલના ભરેલા ડબ્બા પણ જોવા મળ્યા હતા, બેકારદારીપૂર્વક જો નાની એવી પણ ભૂલથી આગ લાગે તો એને વિકરાળ સ્વરૂપ આપવામાં આ ખુલ્લા પડેલા ડબ્બાઓ મોટો ભાગ ભજવી શકે છે. તેમજ ટાઉનહોલના પગથિયાથી લઈને ચારે બાજુએ ઠેર ઠેર પીપળાના વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે. જે કાળજીનો અભાવ દર્શાવે છે. શહેરીજનોને સ્પર્શતા વિવિધ આયોજન અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રબિંદુ સમાન ટાઉનહોલ પાસેથી આવક રળવામાં તો પાલિકા સક્રિય છે પરંતુ એની જાળવણી બાબતે જાગૃત રહેવામાં નિષ્ક્રિય દેખાઈ રહી છે.
મંડે પોઝિટીવ:‘કુંજી’ સાથે 22 હજાર કિમી કાપી કચ્છ પહોંચ્યો યુવાન
જીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરાલા રાજ્યના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝા ગામનો 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયન જ્યારે કચ્છ પહોંચ્યો ત્યારે અહીંના લોકોના સ્વભાવ, લાગણી અને કચ્છની સુંદરતા પર મોહી ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ને સમર્થન આપી રહ્યો છે. દોઢેક વર્ષ પહેલા 11 ઓક્ટોબર 2024ના એના ગામથી શરૂ કરેલી કેરાલાથી કાશ્મીર યાત્રામાં 22,000 હજાર કિલોમીટર કાપ્યા બાદ જોબિન એના 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી સાથે કચ્છ પહોંચ્યો છે. પાંચ દિવસ કચ્છમાં ઠેર ઠેર ફર્યા બાદ હવે નારાયણ સરોવર, લખપત, સફેદ રણ, રોડ ટુ હેવન, ધોળાવીરા તરફ પ્રયાણ કરશે. બાળપણથી સમયાંતરે યાત્રાઓ, પ્રવાસ કરવાના શોખીન જોબિને 14 વર્ષ સાઉદી અરેબિયામાં જોબ કરી અને વતન પરત ફર્યા બાદ 2018ના કેરાલાના ભયાનક પૂરમાં ઘર ડૂબવા સહિત આર્થિક સંકટનો સામનો કર્યો પણ માનસિક સ્થિતિ પર લાગેલા આઘાતને વધુ હાવી ન થવા દઈને થોડી સ્થિતિ સુધરતા જ જન્મથી એના સાથે રહેતી એની પાલતુ શ્વાન કુંજી સાથે નિજાનંદ, આત્મસંતોષ અને દેશની સંસ્કૃતિ જીવવા સાઈકલ યાત્રા પર નીકળી પડ્યો. રસોઈ કરવાની થોડી સામગ્રી, કપડાં, ટાયર, ટ્યુબ, ફોન ચાર્જ કરવા માટે સોલાર પ્લેટ, રહેવા માટે ટેન્ટ સાથે દિવસના અંદાજે 40થી 50 કિલોમીટર કાપીને વિવિધ ગામોમાં રોકાણ કરે છે. મોટા ભાગે જે તે સ્થાનિકો દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા થઈ જતી હોય છે તો ક્યારેક પોતે ટેન્ટમાં રહી લે છે અને જાતે જમવાનું બનાવી લે છે. દોઢેક વર્ષ કેરાલા, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્રમાં વીતાવ્યા બાદ હાલે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા ફર્યા બાદ કચ્છમાં સમય ગાળી રહ્યો છે તો નહિવત ખર્ચા સાથેની ચાલતી ભારત ભ્રમણની આ સમગ્ર યાત્રા અંદાજે પાંચ વર્ષ ચાલશે. અનેક ભાષાઓ સાથેના આપણે દેશવાસીઓ એક જમલયાલમ માતૃભાષા સાથે થોડી થોડી હિંદી અને અંગ્રેજી જાણતા જોબિનને અત્યાર સુધી ક્યાંય પણ અન્ય ભાષાના કારણે લોકો સાથે સંપર્ક સાધવામાં તકલીફ પડી નથી. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ અનેકતામાં એકતા સાથે સંકળાયેલા છીએ ત્યારે ધર્મ, ભાષા કે સંસ્કૃતિના કારણે યાત્રા દરમિયાન કોઈ જ રૂકાવટ થઈ નથી. દરેક સ્થળે લાગણીથી આવકાર મળતો હોવાના કારણે વાત કહેવામાં કે સમજવામાં ભાષા બાધ્યતા બનતી નથી. કુંજી એ પ્રેમ અને લાગણીનો સતત સુખદ અનુભવ આપે છેસાઇબેરીયન પ્રજાતિની 10 વર્ષની પાલતુ શ્વાન કુંજી એના જન્મથી જોબિન સાથે છે. નાના નાના ઘણા બધા પ્રવાસોમાં સતત સાથે રહેતી કુંજી પ્રત્યે અઢળક સ્નેહ અને લાગણીથી બંધાયેલા જોબિને તેને પોતાના સુખ-દુઃખના સાથી તેમજ પરિવાર સમાન ગણાવી હતી. સાથે ઉમેર્યું હતું કે, કુંજી સાથેની લાગણીના માધ્યમથી જીવનમાં પ્રેમ અને ભાવનાઓને વધુ સારી રીતે અનુભવતા શીખ્યો છું.
મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસમાં વાર્ષોકોત્સવની ઉજવણી રૂપે ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. અંતિમ ભાગમાં યુનિવર્સિટીના દેશ-વિદેશ વિદ્યાર્થીઓ દ્વારા ‘લોક રંગો’ નામે લોકનૃત્ય અને લોકસંગીતની રંગબેરંગી રજૂઆતો કરવામાં આવી. આ રજૂઆતો દ્વારા ભારતના વિવિધ પ્રદેશોની લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝલક દર્શાવવામાં આવી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની. તેમજ બીજા દિવસે ભારતીય પુરાણિક અને સાંસ્કૃતિક પરંપરાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી. ‘સ્વદેશાભિમાન’ જેવી રજૂઆત દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું. ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિભાગ દ્વારા આજે પરંપરા, સાધના અને સર્જનાત્મકતાના સુમેળરૂપ ‘સભા નૃત્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે યોજાયેલા સભ વાદનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિ પ્રસ્તુત કરી હતી.
જમાનો બદલાયો ફિલ્મો આવી,ટીવી આવ્યું એટલે જૂની રંગભૂમિ મૃત:પ્રાય થઈ ગઈ. જો કે જમાના સાથે રંગભૂમિમાં બદલાવ આવ્યો. નવી રંગભૂમિ પર નાટકોનું અલગ જ સ્વરૂપ આવ્યું. ટીવી. સિનેમાના જમાનામાં પણ નાટ્યગૃહોમાં જઇ ટિકિટ લઈ નાટક જોવાની ફરજ પડે એવાં નાટક થવા માંડ્યા. રંગભૂમિ જ્યારે જૂની રંગભૂમિ થી નવી રંગભૂમિ તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌ કલાકારોએ નવી રંગભૂમિની શરૂઆત કરી. તેમ જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા ‘એ ત્રાડની ધ્રૂજારી હજુ શમી નથી ગુજરાતી રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ’ વિષય પર યોજાયેલા વક્તવ્યમાં રંગભૂમિના લેખક વિહંગ મહેતાએ જણાવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગનો અનુભવગુજરાત તેમજ મુંબઈની રંગભૂમિ સાથે જોડાયેલા પોતાના પાંચ દાયકાના અનુભવોને આધારે ગુજરાતી રંગભૂમિના વિકાસની વાત કરી હતી. પોતાના પ્રવચનમાં તેમણે ગુજરાતી રંગભૂમિના સુવર્ણ યુગ, તે સમયના પ્રતિષ્ઠિત કલાકારો, પ્રયોગશીલ નાટકો અને વ્યાવસાયિક રંગભૂમિના વિવિધ તબક્કાઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. સાથે જ આજની રંગભૂમિની સ્થિતિ, નવા લેખકો અને દિગ્દર્શકોના પ્રયત્નો તથા આવનારા સમયમાં ગુજરાતી રંગભૂમિ માટે રહેલી સંભાવનાઓ અંગે પણ તેમણે વિચારપ્રેરક રજૂઆત કરી હતી
કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે અનોખું અને સર્જનાત્મક ટ્રિન્કેટ ટ્રે પેઇન્ટિંગ તથા ટોટ બેગ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગો, ડિઝાઇન અને કલ્પનાશક્તિથી ભરપૂર આ વર્કશોપમાં 30થી વધુ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ભાગ લેનાર મહિલાઓએ ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ પર વિવિધ રંગો, પેટર્ન અને કલાત્મક ડિઝાઇનનો ઉપયોગ કરીને પોતાની અનોખી કૃતિઓ તૈયાર કરી હતી. કેટલાકે ફ્લોરલ ડિઝાઇન, કેટલાકે એબ્સ્ટ્રેક્ટ આર્ટ તો કેટલાકે પરંપરાગત પેટર્ન દ્વારા પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. સમગ્ર હોલ રંગો અને સર્જનાત્મક ઉર્જાથી ઝળહળી ઉઠ્યો હતો. આ કાર્યક્રમ માત્ર પેઇન્ટિંગ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ મહિલાઓ માટે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને પોતાને સમય આપવા માટે આયોજન કરાયું હતું. તેમજ નવી નવી કલાનો અનુભવ મેળવવાની તેઓ માટે સુંદર તક બની રહ્યો હતો. વર્કશોપથી માનસિક શાંતિનો અનુભવ થયોભાગ લેનાર મહિલાઓએ જણાવ્યું હતું કે આ વર્કશોપે તેમને માનસિક તાજગી આપી તેમજ ટીમ સાથે આનંદમય સમય પસાર કરવાની અનોખી તક આપી. વર્કશોપના અંતે તમામ મહિલાઓએ પોતાની બનાવેલી સુંદર ટ્રિન્કેટ ટ્રે અને ટોટ બેગ સાથે ખુશી વ્યક્ત કરી હતી. સર્જનાત્મકતા, ઉત્સાહ અને રંગોની ઉજવણી બની રહેલો આ વર્કશોપ દરેક માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇસ્ટ, વેસ્ટ તેમજ સેન્ટ્રલ સહિતની ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. જોકે શહેરની દક્ષિણમાં આવેલા વોર્ડ નંબર 15,16,17 અને 18નાં અંદાજે 5 લાખ કરતા વધુ લોકોને જન્મ-મરણનાં દાખલા, આધારકાર્ડ સહિત કોર્પોરેશનને લગત તમામ કામગીરી માટે સેન્ટ્રલ ઝોનમાં આવેલી મુખ્ય કચેરી સુધી આવવું પડે છે. જોકે મનપાનો વિસ્તાર વધી રહ્યો હોય લોકોની સુવિધા માટે કોઠારીયા વિસ્તારમાં આવેલા રાધે ચોક પાસે હાલ રૂ. 32.54 કરોડનાં ખર્ચે નવી સાઉથ ઝોન કચેરીનાં નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામ પૂર્ણ થતાં જુદા-જુદા 4 વોર્ડમાં રહેતા લાખો લોકોનાં નાના-મોટા કામો ઘરઆંગણે થશે. એટલું જ નહીં આ કચેરી માટે ખાસ અધિકારીઓ ફાળવવામાં આવતા તમામ વોર્ડનો વિકાસ ઝડપી થશે. રાધે ચોક પાસે થઈ રહ્યું છે સાઉથ ઝોન કચેરીનું નિર્માણરાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની રજૂઆતો બાદ મનપાનાં બજેટમાં સાઉથ ઝોન કચેરીનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અને છેલ્લા 9 મહિનાથી રાધે ચોક ખાતેના વિશાળ પ્લોટમાં સાઉથ ઝોન કચેરીનાં નિર્માણનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કમિશ્નર તુષાર સુમેરાએ પણ અહીં ચાલી રહેલા કામની રૂબરૂમાં મુલાકાત લઈને આ કામ ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ કચેરી માટે ખાસ ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરની પોસ્ટ ફાળવવામાં આવનાર છે. જેને લઈને અહીંના લોકોને નાના-મોટા કામ માટે સેન્ટ્રલ ઝોન સુધી ધક્કો ખાવો પડશે નહીં. રૂ. 32.54 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું બિલ્ડિંગ બનશેમ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં આ અંગે જણાવ્યું કે, મહાનગરપાલિકામાં હાલ ત્રણ ઝોન કાર્યરત છે, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. લાંબા સમયથી એક ડિમાન્ડ હતી કે સાઉથ ઝોન પણ બને જેથી કાર્યભારની વ્યવસ્થિત રીતે વહેંચણી થઈ શકે. આ બાબતે વર્ષ 2024-25 ના બજેટ આઈટમ તરીકે સાઉથ ઝોન ઓફિસ અને સાઉથ ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ઓફિસનાં નિર્માણનું કામ હાલ ઝડપભેર ચાલી રહ્યું છે. રાજકોટ મનપા દ્વારા રૂ. 32.54 કરોડનાં ખર્ચે આખું સાઉથ ઝોનનું એક મોર્ડન ઓફિસ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે. આ ઝોનમાં અમે અત્યારે ટેન્ટેટિવલી 4 વોર્ડનો સમાવેશ કરવાનું વિચારી રહ્યા છીએ. હજુ તેની અંદર આખું રિસ્ટ્રક્ચરિંગ કરવાનું થશે. લગભગ આવતા 6 થી 8 મહિનામાં અમે વિચારી રહ્યા છીએ કે આ એન્ટાયર સ્ટાફ સાથેની ફુલ્લી ફંક્શનલ ઓફિસ કાર્યરત થઈ જશે. અત્યારે આ પ્રોજેક્ટનું લગભગ 50 ટકાથી પણ વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. કચેરી કાર્યરત થતા સ્થાનિક લોકોએ સેન્ટ્રલ ઝોન કચેરીનો ધક્કો નહીં ખાવો પડેમનપાની સાઉથ ઝોન ઓફિસ અન્ય તમામ કચેરીઓ કરતા વધુ આધુનિક હશે. જેમાં પ્રજાલક્ષી સેવાઓ લોકોને ડાયરેક્ટ મળી રહે તે માટે એક આખો અલગ સેક્શન બનાવવામાં આવશે. ઝોનલ લેવલ પર લોકોને તમામ સુવિધાઓ જેવી કે દાખલાઓ, આધારકાર્ડ વગેરે મળી રહે તે માટે સિવિક સેન્ટર પણ ત્યાં જ બનાવવામાં આવશે. અમારો ધ્યેય એવો છે કે લાંબા ગાળે ચારેય ઝોન એવી રીતે સેટઅપ થાય કે લોકોને તેમની તમામ જરૂરિયાતો ઝોન કક્ષાએ પૂર્ણ થઈ જાય. જેથી લોકોને સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કો ખવામાંથી મુક્તિ મળશે. તેમજ મુખ્ય કચેરી પરનું કામનું ભારણ પણ ઘટશે. આ વર્ષના અંત સુધીમાં કચેરીનું કામ પૂર્ણ થવાની શક્યતાનવો દક્ષિણ ઝોન બનતા કોઠારીયાના 4 વોર્ડના લોકોને નગરના આયામો પ્રમાણેની નળ, ગટર અને રોશનીના પ્રશ્નો માટે ઈસ્ટ ઝોન સુધી લાંબા નહિ થવું પડે. તેમજ ડી.એમ.સી. અને સિટી ઈજનેરની અલાયદી નિયુક્તિ આ ઝોન માટે થવાથી કામો ઝડપી થવા લાગશે. હાલમાં ઝોન કચેરી નવી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અંદાજે આગામી 6-8 મહિનામાં આ કામગીરી પુરી થશે. બાકીનું સેટઅપ વોર્ડ વાઇઝ હોવાથી સ્ટાફની કોઈ સમસ્યા નહિ થાય. આ કચેરી માટે સિટી ઈજનેર અને મુખ્ય અધિકારી ( ડી.એમ.સી.) નિયુકત કરવા પડશે. ડી.એમ.સી. તરીકે સરકારી કેડરમાંથી નિયુક્તિ થતી હોવાથી સરકારમાંથી મંજૂરી સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મનપાનો ઇતિહાસ અને ઝોન ઓફિસોનું વિસ્તરણરાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી, તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ પર આવેલી મુખ્ય કચેરી, એટલે કે સેન્ટ્રલ ઝોન ખાતેથી જ કરવામાં આવતી હતી. વર્ષ 1998માં રાજકોટ શહેરની હદમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતા મનપાનાં વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વિસ્તરણના ભાગરૂપે 2006માં 150 ફૂટ રિંગરોડ પર હરીસિંહજી ગોહિલ ભવન વેસ્ટ ઝોન કચેરી અને વર્ષ 2007માં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી ભવન ઇસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ કરીને કાર્યરત કરવામાં આવી હતી. જેના કારણે નાગરિકોને તેના વોર્ડ અને નિવાસસ્થાનથી નજીક આવેલી ઝોન ઓફિસ ખાતેથી વિવિધ સુવિધાઓ મળવી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ, મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ 2015માં કામગીરીનું વધુ વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, અને વોર્ડ ઓફિસ ખાતેથી મિલકતવેરા, વ્યવસાયવેરા, વાહનવેરો, જન્મ-મરણ પ્રમાણપત્ર, વિવિધ વસૂલાત, ફરિયાદ નોંધણી જેવી અમુક સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરની હદમાં ફરીથી વિસ્તરણ થયું હતું. વર્ષ 2015માં કોઠારીયા અને વાવડી ગામનો સમાવેશ થયો અને વર્ષ 2020માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-1 સહિતના ગામોને પણ રાજકોટ મહાપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે શહેરનો વિસ્તાર વધુ વધ્યો હતો. આ વિસ્તરણને ધ્યાનમાં રાખી હાલ સાઉથ ઝોન કચેરીના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 32.54 કરોડનાં ખર્ચે કોઠારીયાનાં રાધે ચોક ખાતે બની રહેલી આ ઓફિસની 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનો દાવો મ્યુ. કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. અને આગામી 6-8 મહિનામાં આ કચેરી સંપૂર્ણપણે કાર્યરત કરવાની દિશામાં આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. સમયાંતરે મ્યુ. કમિશ્નર ખુદ રૂબરૂ મુલાકાતો લઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષના અંતમાં કે વર્ષ 2027ની શરૂઆતમાં વોર્ડ નંબર 15,16,17 અને 18માં રહેતા લાખો લોકોને આ કચેરીનો લાભ મળશે. અને મનપાને લગતી સુવિધા ઘરઆંગણે મળવાની સાથે દક્ષિણ ઝોનનાં વિકાસકામો પણ વધુ ઝડપી થતા સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.
ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:હાઉસકીપિંગ કંપનીના માલિકે કર્મીને ધમકી આપતાં ફરિયાદ
સુરતના વૈભવી કારના વર્કશોપ માટે હાઉસકિપિંગના સ્ટાફની વ્યવસ્થા કરવા ગયેલા અમદાવાદની આરડેન્ટ ફેસિલિટી કંપનીના ફિલ્ડ ઓફિસરને કંપનીના માલિકે અપશબ્દો બોલીને ધમકીઓ આપી હતી. કંપની માલિકે કર્મચારીના પરિવાર વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. માણેજા ઓમકાર ગ્રીન ખાતે રહેતા સુનિલભાઈ ખાનાભાઈ વણકર અમદાવાદ ઓઢવની આરડેન્ટ ફેસિલિટી પ્રા.લી.કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરે છે. જ્યારે કંપનીના માલિક બ્રિજેશ કુશ્વાહા છે. સુનિલભાઈ તા.9 જાન્યુઆરીએ કંપનીના કામથી સુરત ગયા હતા. ત્યારબાદ કામ પૂર્ણ કરીને પરત વડોદરા આવી ગયા હતા. તા.11એ સુનિલભાઈએ કંપનીના માલિક બ્રિજેશને મેસેજ કરીને સુરતની કામગીરીનો રિપોર્ટ મોકલ્યો હતો. સુનિલભાઈએ તેમાં જણાવ્યું હતું કે, સુરત હું ગયો હતો જ્યાં અમુક લોકોને હાઉસિપિંગ માટે વિઝિટિંગ કાર્ડ આપીને આવ્યો છું અને આજે મારામાં બે-ત્રણ વ્યક્તિના ફોન આવ્યા છે. જોકે તે જોઈને બ્રિજેશ ઉશ્કેરાઈને સુનિલભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ભાસ્કર ઇનસાઇડબે માસ સુધી માલિક વિરુદ્ધની અરજી મકરપુરા પોલીસ સ્ટેશનમાં જ રહી, કમિશનરને અરજી કરતાં જ કાર્યવાહીઆરડેન્ટ ફેસિલિટી કંપની દ્વારા સુરતના મર્સિડીઝના વર્કશોપને હાઉસકિપિંગનો સ્ટાફ પુરો પાડવા કોન્ટ્રેક્ટ લેવાયો હતો. તેની કામગીરીને માટે સુનિલ વણકર સુરત ગયા હતા. જ્યાં કોઈ સારા વ્યક્તિ મળ્યા નહોતા. જેથી તે પરત આવી ગયા હતા. ત્યારબાદ બ્રિજેશે અપશબ્દો કહી ધમકી આપી હતી. સુનિલભાઈએ 13 જાન્યુઆરીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતા તેમને તા.22 ફેબ્રુઆરીએ કમિશનરને અરજી કર્યા પછી તા.14 માર્ચે પોલીસે ગુનો નોંધ્યો હતો.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાતમાં ભાજપના રાજમાં કોંગ્રેસના એક પરિવારનો ગજબનો દબદબો છે. આ પરિવારે “મોડલ સ્કૂલ-કોલેજ” ખોલી છે! જેમાં ધોરણ 1થી 12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. એટલું જ નહીં, BA, B.Com, BCA, BSW, BRS, LLB, MRS, MSW, M.Com, B.Ed, PTC, PGDCA, જેવા UG અને PG કોર્સ તેમજ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી તથા યોગ વિદ્યામાં ડિપ્લોમા સુધીના 15 જેટલા કોર્સ ચાલે છે. જે જગ્યાએ આટલા બધા કોર્સ ચાલતા હોય અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો કોઈને પણ વિચાર આવે કે એક ભવ્ય શૈક્ષણિક સંકુલની વાત થતી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલું મોટું શૈક્ષણિક સામ્રાજ્ય માત્ર 20 ઓરડામાં જ સિમિત છે. કદાચ કોઈને એમ થાય કે ભલે કોર્સ વધારે છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હશે. જો કે એવું પણ નથી. આ તમામ વિગતો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે. જો કે વાત ઓછા ઓરડા અને વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી જ સિમિત નથી. અમને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા, ત્યાર બાદ અમે આ શૈક્ષણિક સંકુલમાં તપાસ કરી, યુનિવર્સિટી સુધી પણ પહોંચ્યા. દરેક તબક્કે અમારી સામે એવા ખુલાસા થતાં ગયા, જે વિચારવા માટે મજબૂર કરી દે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કઈ હદે બગડી છે. કારણ કે જે જમીન પર આ સંકુલ બન્યું છે ત્યાંથી માંડીને જે રીતે તમે વિવિધ કોર્સની મંજૂરી મળતી ગઈ એ આખી પ્રક્રિયા સવાલોના ઘેરામાં છે. સૌથી પહેલા શૈક્ષણિક સંકુલની જમીન વિશે અમે તપાસ કરી.વર્ષ 2004ની વાત છે. જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી. ગુજરાતના ગીર સોમનાથમાં વેરાવળ પાસે આવેલા સુપાસીમાં આ જમીન 1 નવેમ્બર, 2004 સુધી ગૌરચનો ભાગ હતી. પરંતુ એ દિવસથી ગૌચરને અન્ય જગ્યાએ ગણાવી આ જમીનને સરકારી ખરાબા તરીકે બતાવવામાં આવી. પછી જમીનને શૈક્ષણિક હેતુ માટે કલેક્ટર દ્વારા એક ટ્રસ્ટને 30 વર્ષ માટે 1 રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી. જેને નામ મળી ગયું અર્જુન એજ્યુકેશન એકેડમી. આ શૈક્ષણિક સંસ્થા વૃંદાવન કેળવણી મંડળ ટ્રસ્ટ ચલાવે છે. ટ્રસ્ટના પ્રમુખ કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ જમીન ગૌચરથી ખરાબાની અને ત્યાર બાદ સંકુલને 2004માં મળી એ ઘટનાક્રમ સમયે ટ્રસ્ટના પ્રમુખ હીરા જોટવા જ ગામના સરપંચ હતા. ટ્રસ્ટમાં મંત્રી નગાજનભાઈ અરજણભાઈ જાદલ છે જે હીરા જોટવાના ભાઈ છે. ખજાનચી ભેનીબેન અરજણભાઈ વાલા છે જે હીરા જોટવાના માતા છે. સભ્ય હર્ષાબહેન તેમના પત્ની છે અને અન્ય એક સભ્ય હેમાબેન તેમના બહેન છે. હવે નીચે આપેલી બે સેટેલાઇટ તસવીર જુઓ.એક તસવીર 2010ની છે, જ્યારે બીજી તસવીર 2025ની છે. 15 વર્ષ થવા છતાં પણ આ શૈક્ષણિક સંકુલના બાંધકામમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. પરંતુ સમયાંતરે અહીંયાં ભણાવવામાં આવતા કોર્સની સંખ્યા વધતી ગઈ. જે એક મોટો સવાલ ઉભો કરે છે. ભાડાપટ્ટાના કરારમાં એક જગ્યાએ આ જમીન શૈક્ષણિક હેતુ, હોસ્ટેલ અને રમત-ગમતના મેદાન માટે હોવાનું લખાયું છે. પરંતુ અન્ય એક પાના પર આ જમીન હોસ્ટેલ અને રમત-ગમત સાથે માત્ર પ્રાથમિક શિક્ષણના બાંધકામ માટે આપી હોવાનું લખાયું છે. એટલે જમીનના હેતુને લઈને થોડીક અસમંજસ જેવું છે. પરંતુ આ “ગ્રે એરિયા”નો લાભ સંસ્થાએ ભરપૂર રીતે લીધો અને સમયાંતરે નવા વર્ગો ઉભા કરી નાખ્યા. આ થઈ જમીનના હેતુની વાત. જ્યારે સરકારે આ જમીન પાણી કરતા પણ સસ્તા ભાવે આપી ત્યારે કેટલીક શરતો રાખી હતી. જેમાંની 4 શરતો ખૂબ મહત્વની છે. શરત નંબર 3: સ્કુલ-શાળા બાંધકામના નકશા કલેક્ટર પાસે મંજુર કરાવવાના રહેશે અને તેમની પૂર્વ મંજૂરી સિવાય તેમાં ફેરફાર નહીં કરી શકાય. શરત નંબર 5: સંસ્થાના જે હેતુ માટે જમીન આપી છે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે, તેમાં ફેરફાર થશે નહીં. શરત નંબર 6: આ જમીનમાંથી સંસ્થા નફો લઈ શકશે નહીં તથા નફાકારક ઉપયોગ કરી શકશે નહીં. શરત નંબર 10: જો આમાંથી કોઈ શરતનો ભંગ થશે તો સરકાર કોઈ વળતર વગર જમીન પરત લઈ શકશે. આ શરતોને જોતા સવાલ એ ઉઠે છે કે શાળાના બાંધકામના નકશા કલેક્ટર પાસેથી મંજૂર કરાવવા. અહીં કોલેજનો તો ઉલ્લેખ જ નથી. પરંતુ તેમ છતાં કોલેજ ઉભી કરી દેવાઈ. તો શું એમાં “શૈક્ષણિક હેતુ” શબ્દનો છટકબારી તરીકે ઉપયોગ થયો છે? UGCના નિયમો કરતા સંસ્થા પાસે ઓછી જમીનસંકુલના બાંધકામના નકશા મંંજૂર કરાવવાના હતા પરંતુ ભાડા કરારની શરત મુજબ આ નકશો મંજૂર કરાવવામાં ન આવ્યો હોવાનો આરોપ છે. સૌથી મહત્વની વાત, વર્ષ 2016માં અર્જુન એજ્યુકેશન એકેડમીને B.Com માટે મંજૂરી આપવામાં આવી હતી. UGCના નિયમ મુજબ જે તે સંસ્થામાં UG કોર્સ ચાલુ થયાના ત્રણ વર્ષ બાદ જ તેને સલગ્ન PG કોર્સની મંજૂરી મળે. પરંતુ એક અરજીમાં આરોપ છે કે અર્જુન એજ્યુકેશન એકેડમીને બીજા જ વર્ષે M.Com કોલેજની મંજૂરી મળી ગઈ. આ ઉપરાંત UGCના નિયમ મુજબ કોલેજ પાસે વિવિધ કોર્સની મંજૂરી માટે 5 એકર જમીન હોવી ફરજિયાત છે પરંતુ આ સંકુલ પાસે કુલ જગ્યા 5527.70 ચોરસ મીટર છે. જે માંડ 1.4 એકર જેટલું થાય છે. વળી એમાં શાળાનું સંકુલ પણ આવી ગયું. પરંતુ જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોલેજના વિવિધ કોર્સની મંજૂરી આપવામાં આવી ત્યારે કોલેજે UGCના નિયમોનું પાલન કર્યુ હોવાનું લખવામાં આવ્યું છે. અત્યાર સુધી કાગળ પર થયેલી રમત વિશે અમને જાણકારી મળી હતી. હવે સમય હતો ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો. 20 ઓરડાના આ સંકુલમાં ધોરણ 1થી 12ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમ અને અલગ-અલગ 15 કોર્સના વિદ્યાર્થીઓ કેવી રીતે સમાતા હશે? ભણાવવાથી લઈને પરીક્ષા લેવા સુધીની વ્યવસ્થા કેવી હોય છે? એને કેટલી ફી લેવામાં આવે છે? આવા અનેક સવાલો અમારા મનમાં હતા. જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રભરમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. કેટલાય વિદ્યાર્થીઓ માટે આ સંકુલ ફેવરેટ છે. અમે અનેક વિદ્યાર્થીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પરંતુ અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે ઉભા થયેલા ત્રણ મોટા સવાલ પર કેમેરા સામે કાંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો. જો કે આડકતરી રીતે પૂછતા કેટલાકે કહ્યું, તમારે દેવશી બાપાને જ મળવું પડશે. દેવશી બાપા એટલે દેવશીભાઈ જોટવા જે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન કરે છે. ઘણા પ્રયત્ન બાદ અમારી એક વિદ્યાર્થી સાથે વાતચીત થઈ. જેને નામ અને ઓળખ છુપાવવાની શરતે કોલેજ વિશે સ્ફોટક ખુલાસા કર્યા. આ વિદ્યાર્થી અર્જુન કોલેજમાંથી BAનો અભ્યાસ કર્યો હતો. અમે પૂછ્યું કે કેવી રીતે કોલેજ ચાલે છે દરરોજ જવું ફરજિયાત હોય છે? વિદ્યાર્થીએ કહ્યું, ના… કોલેજમાં જવાનું નથી હોતું. પરંતુ જે સેમેસ્ટરની ફી હોય તેના કરતા બમણી ફી ભરવાની હોય છે. એટલે એ લોકો એડમિશન લઈ લે છે. અમે આ વિદ્યાર્થીને પરીક્ષા વખતની સ્થિતિ વિશે પૂછ્યું. તો તેણે જણાવ્યું, પરીક્ષામાં કોઈ ચિંતા નથી હોતી. તેઓ ફુલ ચોરી કરવા દે છે. સાહિત્ય સાથે લઈને જવાનું અને તેઓ ઉપર ઉભા રહીને ચોરી કરાવે છે. નિયત ફી કરતા ડબલ ફીમાં ચોરી કરાવી અને પાસ કરાવવાની આડકતરી રીતે જવાબદારી હોય છે. જો કે ફીની પહોંચ અડધી રકમની જ આપવામાં આવે છે. વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થાનું પૂછ્યું તો તેણે કહ્યું, દરેક કોર્સની પરીક્ષા એકસાથે નથી હોતી એટલે તકલીફ પડતી નથી. આ ઉપરાંત જે દિવસે કોલેજની પરીક્ષા હોય અને ત્યારે રજાનો દિવસ ન હોય તો પણ શાળામાં રજા જાહેર કરી દેવાય છે એટલે ઓરડા ઓછા ન પડે. અમે સ્કવૉડ વિશે પૂછ્યું તો વિદ્યાર્થીએ 2017ના એક ગંભીર બનાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું, આ લોકો ઓફિસમાં બેસાડીને તેમને પણ “મેનેજ” કરી લે છે. એકવાર પ્રામાણિક અધિકારી સ્ક્વોડમાં આવ્યા તો સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે જ અધિકારીઓ સાથે મારામારી કરાવી હતી. મારી નજર સામે જ તેમને મારવામાં આવ્યા હતા. સુપાસીના શૈક્ષણિક સંકુલમાં ભૂતકાળમાં બનેલો એક બનાવ વિદ્યાર્થીના દાવાને મજબૂતી આપે છે. 2017માં પરીક્ષા દરમિયાન ચોરી કરતા અટકાવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચેકિંગ સ્ક્વોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કોલેજ સંચાલક દેવશીભાઈ જોટવા અને અન્ય 15થી 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મહિપાલસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં લખાવેલી વિગત પ્રમાણે તેઓ ગોંડલની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, તેમની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA સેમેસ્ટર-5ની પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડના ટીમ લીડર તરીકે કરવામાં આવી હતી. 9 ઓક્ટોબર, 2017ના રોજ તેઓ સુપાસીની અર્જુન આર્ટસ કોલેજમાં તપાસ માટે ગયા હતા. તપાસ દરમિયાન કોલેજ સંચાલકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં સ્ક્વોડે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ચોરી કરવા દીધી નહોતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સ્ક્વોડની ટીમ પરત ફરી રહી હતી, ત્યારે સુપાસી બસ સ્ટેન્ડ પાસે અને ત્યારબાદ પાણીધ્રા-કોયલાણા વચ્ચે હુમલાખોરોએ ત્રણ વાહનો સ્વીફ્ટ, ક્રેટા અને સ્કોર્પીયો મારફતે તેમની કારને આંતરી હતી. 15થી 20 જેટલા માણસોએ લાકડી, પાઇપ અને બેઝબોલ સ્ટમ્પ જેવા હથિયારો વડે મહિપાલસિંહ અને દિલીપભાઈ ડાંગર પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે IPCની અલગ-અલગ 8 કલમો અને GPAની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે થયેલા એક-એક ખુલાસા ચોંકાવનારા હતા. એટલે ઇન્વેસ્ટિગેશના આગળના તબક્કામાં અમે સુપાસીના શૈક્ષણિક સંકુલમાં પહોંચ્યા. અમે સગી આંખે એ જ હકીકત જોઈ જેના વિશે અત્યાર સુધી સૂત્રો તેમજ ડોક્યુમેન્ટ મારફતે જાણ્યું હતું. માત્ર 20 ઓરડાનું જ સંકુલ હતું. જેમાં ઓફિસ અને સ્ટાફ રૂમ પણ આવી ગયો. સંકુલમાં CCTV કેમેરા તો હતા પરંતુ ફાયરસેફ્ટીના કોઈ સાધનો અમને દેખાયા ન હતા. અમે મુલાકાત લીધી ત્યારે સંચાલક દેવશી જોટવા પણ ત્યાં જ બેઠા હતા. તેમની સાથે ચાર-પાંચ લોકો પણ હતા. તેમણે શૈક્ષણિક સંકુલમાં ગેરરીતિ, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના રોલ વિશે જાણે “વટ” બતાવતા હોય એમ ઘણી ઓફ ધી રેકોર્ડ વાતો કરી. એટલું જ નહીં, આ વિસ્તારમાં પોતાનો દબદબો કઈ હદે છે એના દાખલા પણ આપી દીધા. દેવશી જોટવાનું વ્યક્તિત્વ અને વર્તન ઘણું કહી જતું હતું. હવે ઇન્વેસ્ટિગેશનના છેલ્લા પડાવમાં અમે વિદ્યાર્થીઓની સંખ્યા, કોલેજને નિયમોનું ઉલ્લંઘન કરીને મળેલી માન્યતા સહિતની સત્તાવાર જાણકારી મેળવવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવાનું નક્કી કર્યું. પ્રતાપ ચૌહાણ છેલ્લા 8 મહિનાથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદે છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડીન રહી ચૂક્યા છે. તેમની સાથેની મુલાકાત દરમિયાન અમે અમે તેમને કેટલાક સવાલ કર્યા. દિવ્ય ભાસ્કર- ગ્રેજ્યુએશન શરૂ થયાના માત્ર એક વર્ષમાં જ માસ્ટરની પરમિશન કેવી રીતે મળી? વાઇસ ચાન્સેલર- આ અંગે અમને ફરિયાદ નથી મળી પરંતુ આ સંકુલ અંગેની અન્ય ફરિયાદ એક RTI દ્વારા થઈ છે. પરંતુ તે વ્યક્તિગત છે કે જનહિતની તે અંગે અમારી તપાસ ચાલે છે. જો એક વર્ષમાં માસ્ટરની પરમિશન મળી છે તે જે-તે સમયના કુલપતિ જે.પી.મયાણીએ આપી હશે. આ નિર્ણયને પણ ઘણા વર્ષ થઈ ગયા છે. જો આમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ હશે તો અમે તેના પર ચોક્કસ પગલા લઈશું. મારે આ અંગે જે.પી.મયાણી સાથે પણ વાત કરવી પડશે. દિવ્ય ભાસ્કર-સંકુલની જગ્યા જે હેતુ માટે આપવામાં આવી હતી તેનો હેતું ફેર થયો હોવાના આરોપ છે. શું કહેશો?વાઇસ ચાન્સેલર- આ અંગે અમારી તપાસ છે અમે રિપોર્ટ આપ્યો છે. જગ્યાની ફાળવણી ક્લેકટરના આદેશથી થઈ છે. ક્લેકટર ઓફિસમાંથી પણ તપાસ ચાલી રહી છે. દિવ્ય ભાસ્કર- જો નિયમ મુજબ સંકુલ ન હોય તો કોલેજની પરમિશન કેવી રીતે મળી?વાઇસ ચાન્સેલર- પરમિશન આપવાના નિર્ણય સમયે યુનિવર્સિટીની કમિટી ત્યાં ગઈ હશે અને નિયમ મુજબ બધા દસ્તાવેજો રજૂ કર્યા પછી જ પરમિશન મળી હશે. જો કોઈ દસ્તાવેજો ખોટા રજૂ કર્યા હશે તો તે અંગેની તપાસ બાદ ચોક્કસ કાર્યવાહી કરાશે. દિવ્ય ભાસ્કર- શું કોઈક રીતે રાજકીય દબાણ છે?વાઇસ ચાન્સેલર- યુનિવર્સિટીએ રાજકારણથી દૂર રહીને કામ કરવું જોઈએ. મને ક્યારેય કોઈ દબાણ નથી આવ્યું. અમે આ સમગ્ર મામલે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન સંભાળતા દેવશીભાઈ જોટવા સાથે પણ વાતચીત કરી અને તેમનો ખુલાસો પૂછવાનો પ્રયાસ કર્યો. દિવ્ય ભાસ્કર- અમારે કોલેજને લઈને કેટલીક વાત પૂછવી છે. દેવશી જોટવા- તમે કોલેજને લગતી વાત યુનિવર્સિટીમાં પૂછી આવ્યા છો એ મને જાણ છે. તમારી પાસે જે લોકોએ માહિતી આપે છે એવું કંઈ નથી દિવ્ય ભાસ્કર- યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પાંચ એકર જમીન જોઈએ. દેવશી જોટવા- એ નિયમ વર્ષ 2012 પછીનો છે, અત્યારનો નથી અને ગુજરાતની દરેક કોલેજનો પ્રશ્ન છે. દિવ્ય ભાસ્કર- 2017માં સ્ક્વોડ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, તે શું ઘટના હતી?દેવશી જોટવા- એ ઘટના કોલેજથી 35 કિલોમીટર દૂર હાઇવે ઉપર બની હતી. એ ઘટનાને કોલેજ સાથે કોઈ લેવાદેવા નથી. દિવ્ય ભાસ્કર- ઓરડામાં આટલું બધું કેવી રીતે મેનેજ કરો છો? દેવશી જોટવા- આ બધી વાત હું તમને રૂબરૂ મળીને કરીશ.
કલ્પના કરો કે રોજ તમે જે રીતે કાર, બાઇક કે એક્ટિવા ચલાવો છો એ જ રીતે હેલિકોપ્ટર ઉડાવવા લાગો તો કેવું લાગે?. આ શેખચલ્લી જેવો લાગતો વિચાર હવે હકીકત બનાવવા જઇ રહ્યાં છે ગુજરાતી રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઇ. શાર્ક ટેન્કમાં પિચ કરીને આવેલા જયદેવ દેસાઈ ભારતમાં પહેલી હેલિકોપ્ટર ટ્રેનિંગ સ્કૂલ ખોલશે અને જાયરોકોપ્ટર તથા હેલિકોપ્ટર વેચશે, એ પણ સામાન્ય હેલિકોપ્ટર કરતાં ચોથા ભાગની કિંમતે. જાયરોકોપ્ટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું લાગે છે પણ તેની ટેકનોલોજી અલગ છે. હેલિકોપ્ટરમાં રોટર અને એન્જિન કનેક્ટેડ હોય છે. જેથી એન્જિન ચાલુ કરતાં રોટર ફરવા લાગે. જેનાથી ટોર્ક ઉત્પન્ન થાય. એન્ટી-ટોર્ક માટે ટેલ હોય. જ્યારે જાયરોકોપ્ટરમાં રોટર અને એન્જિન વચ્ચે કોઈ કનેક્શન નથી હોતું. જેથી રોટર ફેરવવા માટે સ્પીડ જોઈએ. જાયરોકોપ્ટર ફરતું રહે એ માટે મિનિમમ 30 કિમી સ્પીડ જોઈએ. હેલિકોપ્ટર વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે, જાયરોકોપ્ટર નહીં. જોકે જાયરોકોપ્ટર કોમ્પ્લિકેટેડ નથી એટલે જ ઇઝી ટુ ફ્લાય, મેન્ટેન અને કોસ્ટ ઇફેક્ટિવ છે. વેસ્ટર્ન દેશોની પોલીસ જાયરોકોપ્ટરનો ઉપયોગ કરે છે જાયરોકોપ્ટરનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે. સર્વેલન્સ સિક્યોરિટી, સ્ટેટ પોલીસ, SRP અને BSF પાસે આજે એરક્રાફ્ટ નથી. પરંતુ વેસ્ટર્ન દેશોમાં જેમ કે ન્યૂયોર્ક પોલીસ પાસે છે. ચીન પાસે જાયરોકોપ્ટરનું એક રેજિમેન્ટ છે. જેમાં કુલ 60 છે. એમણે અકસાઈ ચીનમાં મૂકેલા છે. ભારતમાં ડિફેન્સનું બજેટ મોટું હોવાથી મોંઘું અને મોટું એરક્રાફ્ટ ખરીદે છે. પણ પેરા-મિલિટરી ફોર્સ અને સ્ટેટ પોલીસ 50-100 કરોડ ન વાપરી શકે. એ આ ખરીદી શકે છે. જાયરોકોપ્ટરમાં 1 કલાકમાં 20 લિટર પેટ્રોલ વપરાય. 1 કલાકમાં 140 કિમી ચાલે છે. એ મુજબ 1 લિટરમાં લગભગ 7.5 કિમીની એવરેજ આપે છે. વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ એવીઆ ટ્રેનિંગ સોલ્યુશનના પ્રમોટર ડાયરેક્ટર અને સીઈઓ છે. તેમની કંપની અલ્ટ્રા-લાઇટ એરક્રાફ્ટ, જાયરોકોપ્ટર અને હેલિકોપ્ટરનું પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ કરે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં જ કર્યો હતો. ત્યારબાદ બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. જૂન 1978માં તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને 21 વર્ષની સેવા બાદ ડિસેમ્બર 1999માં પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટ લીધું. તેમણે કારગિલ યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો. દિવ્ય ભાસ્કર સાથે જયદેવ દેસાઇ ખાસ વાતચીત કરતા કહે છે કે આજની તારીખે જાયરોકોપ્ટરની કિંમત 1.25 કરોડ, 1.40 કરોડ, 1.7 કરોડ જ્યારે હેલિકોપ્ટરની કિંમત 3.5 કરોડ છે. આની સામે યુએસએનું આર્ક-22 ટુ-સીટર હેલિકોપ્ટર જૂનામાં લગભગ 4.5 કરોડનું મળે છે. હેલિકોપ્ટરની ઊંચી કિંમતોને કારણે જ ભારતમાં હેલિકોપ્ટર પાયલટ ટ્રેનિંગ સ્કૂલ નથી.’ ‘આ 4 સ્ટ્રોક એન્જિન છે. જે અત્યારે એવિએશનમાં વપરાય છે. એ હાઈ-ઓક્ટેન પેટ્રોલ જ છે. જોકે એની જરૂર નથી, સામાન્ય પેટ્રોલથી પણ એ ચાલે છે. DGCA સાથે અમારી આ અંગે વાત ચાલે છે. એવિએશન ગેસની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં બે ગણી હોય છે. અમારો ટાર્ગેટ વર્ગ ઉપયોગ પ્રમાણે લગભગ બધા છે. સિક્યોરિટી સર્વેલન્સ માટે પેરા-મિલિટરી ફોર્સ, પોલીસ. એગ્રીકલ્ચર માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ફાર્મર, સરપંચ. ટ્રાન્સમિશન લાઇન માટે ઇલેક્ટ્રિક કંપની; સુપરવિઝન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ડેમ-કેનાલ માટે વોટર ડિપાર્ટમેન્ટ. ઉપરાંત લગ્નમાં એન્ટ્રી કરવી હોય અથવા ટુરિઝમના ઉપયોગ માટે પણ લઈ શકાય. અત્યારે ઇન્ક્વાયરી ઘણી આવી છે. અમે ગુજરાત સરકારને પણ પ્રપોઝ કર્યું છે કે આઠેક ટુરિઝમ સાઇટ પર જોયરાઈડ શરૂ કરીએ. એમણે કહ્યું છે કે તમે એરક્રાફ્ટ લઈ આવો, એ જોઈને MoU કરશે. અમે આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર સાથે પણ વાત કરી છે. જાયરોકોપ્ટરની ઊંચાઇ 3 મીટર, લંબાઇ 8 મીટર અને પહોળાઇ 4 મીટર છે. જાયરોકોપ્ટર સૌથી સેફેસ્ટ છે. ’ જાયરોકોપ્ટરનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય છેમેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અંગે તેઓ જણાવે છે કે, કોઈપણ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય. 1. કીટ લઈને આવે અને એસેમ્બલ કરે. 2. બધું એસેમ્બલ ન હોય, ઘણું બધું ડિસમેન્ટલ અને છૂટા ભાગ લઈને એને એસેમ્બલ કરે. 3. બધા જ પાર્ટ અલગ હોય. બધું જ અહીંયા એસેમ્બલ થાય. ત્યારે લોકલ વેન્ડર પાસેથી પાર્ટ ખરીદો અથવા જરૂર પ્રમાણે પાર્ટ બનાવો. એમ ત્રણેક વર્ષમાં અમે વેન્ડર સાથે ટોટલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરીશું. એનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. આના બે પર્પઝ છે એક કોઈને એવિએશનમાં બિઝનેસ શરૂ કરવો હોય તો 1 કરોડથી ઓછા રૂપિયામાં શરૂ કરી શકાય. 1 વર્ષમાં એક કરોડથી વધુ રૂપિયા કમાઈ શકાય. એ ખરીદવા લીધેલી લોન 2 વર્ષમાં રિપે કરી શકાય. અને બીજો જો કોઈની પાસે પાંચ-દસ કાર હોય તો વધુ એક કાર લેવાનો ફાયદો નથી. જાયરોકોપ્ટર લઈને હવામાં મુસાફરી કરી શકે છે. ‘અત્યારે અમે 3 કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. જાયરોકોપ્ટર આગળ-પાછળ સીટ અને સાઈડ-બાય-સાઈડ સીટ એમ બે પ્રકારના છે. આગળ-પાછળ સીટવાળું Carpenter Pagotto srl ઇટાલીથી, જ્યારે સાઈડ-બાય-સાઈડ Aviation Artur Trendak પોલેન્ડ અને હેલિકોપ્ટર Lamana Helicopter srl ઇટાલીથી લાવવાના છીએ. ત્રણેય અમારા સ્ટ્રેટેજિક પાર્ટનર છે. અમે એસેમ્બલ અને મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. ઉપરાંત 20 દેશોમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુટ પણ કરી શકીશું.’ જયદેવ દેસાઇ કહે છે કે મેં નિવૃત્તિ પછી શરૂઆતમાં બિઝનેસ કર્યો જે સફળ ન રહ્યો. ત્યારબાદ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા અને સહજાનંદ જેવી કંપનીઓમાં પ્લાન્ટ હેડ અને બિઝનેસ હેડ તરીકે નોકરી કરી. બાદમાં સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં એડવાઇઝર તરીકે કામ શરૂ કર્યું. અને ગોદરેજ ડિફેન્સ અને આઈએન્ડબી ડિફેન્સ જેવી કંપનીઓના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે તેમજ ગુજરાતમાં CII ની ડિફેન્સ ટાસ્ક ફોર્સના કમિટી મેમ્બર પણ રહ્યો છું. ‘એરફોર્સની જોબ દરમિયાન મારી 3 મુખ્ય ઉપલબ્ધિઓ હતી. હમણાં જ રિટાયર થયેલા મિગ-21ની ઓવરહોલ રિપેર લાઇન મેં સેટઅપ કરી હતી. મિરાજ એન્જિનની રિપેર ઓવરહોલ લાઇન કાનપુરમાં મેં સેટઅપ કરી. મિરાજ એન્જિન, સાફરાજ એન્જિન અને રાફેલ એન્જિન માટે તેમણે મને ટ્રેન કર્યો હતો. અબ્દુલ કલામ એ જોવા માટે આવ્યા હતા. છેલ્લે મેં કારગિલ વોરમાં પણ ભાગ લીધો હતો. મારી પોસ્ટિંગ ગાંધીનગરમાં હતી. એ પછી 1999માં રિટાયર થયો.’ કંપનીની શરૂઆત અંગે તેઓ જણાવે છે કે 2019માં અમે એક કંપની શરૂ કરી. 2023માં DGCAએ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન આપી. ફેબ્રુઆરી 2024માં અમે કામ શરૂ કર્યું. અમારું પહેલું એરક્રાફ્ટ ગુજરાતમાં આવી ગયું છે. એને એસેમ્બલ કરીને ટેસ્ટ પણ થઈ ગયું છે. એના દ્વારા જોયરાઈડ, ટ્રેનિંગ સ્કૂલ વગેરે અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. 2018માં સુરેન્દ્રનગરના MLA ધનજીભાઈ જર્મનીમાં એવિએશન એક્ઝિબિશન એટેન્ડ કરવા ગયા હતા. ત્યાં જાયરોકોપ્ટરનું મટિરિયલ જોઈને આવ્યા હતા. ‘પહેલા હું એકલો હતો પછી લોકો જોડાતા ગયા’'અમારા ચેરમેન એરમાર્શલ પી.કે. દેસાઈ પાસે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવા મદદ માંગી હતી. એમણે મને ફોન કરીને ધનજીભાઈને કહ્યું કે વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ તમને મદદ કરશે. પણ મેં રિસર્ચ કર્યા બાદ ખબર પડી કે DGCA અત્યારે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન નથી આપતું. ફાઇનલી, 2023 ઓક્ટોબરમાં તેમણે એપ્રુવ કર્યું. ફેબ્રુઆરીમાં હું ફરી એરમાર્શલ દેસાઈ પાસે ગયો કે સર, આનો બિઝનેસ ઘણો સારો છે, શરૂ કરીએ. ત્યારે હું એકલો હતો. પછી મારી સાથે લોકો જોડાતા ગયા. અમારી ટીમમાં બધા એરફોર્સ વેટરન છે. બધા પ્રુવન ટ્રેક રેકોર્ડ સાથે છે.' તેઓ જણાવે છે કે જે વ્યક્તિ લક્ઝરી કાર ખરીદી શકે એ વ્યક્તિ આ ખરીદી શકે છે. આજની તારીખે ભારતમાં આવા એકપણ જહાજ નથી પરંતુ આવનારા 5 વર્ષમાં ભારતમાં 5થી 10 હજાર એરક્રાફ્ટ ઉડતા હશે. અત્યારે ગુજસેલની પરમિશનથી અમે મહેસાણામાં સેટઅપ કર્યું છે. અમને ઇન્વેસ્ટમેન્ટ મળશે ત્યારે અમદાવાદની નજીક સેટઅપ કરીશું. વડનગર, મોરબી અને નવસારીમાં ટ્રેનિંગ સેન્ટર માટે વાત ચાલે છે. ભારતમાં આવા 20 સેન્ટર શરૂ કરવા માટે રાજીવ પ્રતાપ રુડી સાથે અમારી વાત ચાલે છે. એ માટે એરો ક્લબ ઓફ ઈન્ડિયા 20 હેલિકોપ્ટર અને 50 જાયરોકોપ્ટર અમારી પાસેથી ખરીદશે. અમે ચીફ ઓફ એર સ્ટાફ સાથે મીટિંગ કરીને પાયલોટ ટ્રેનિંગ હેલિકોપ્ટર માટે તેમને પણ પ્રપોઝલ આપ્યું છે.' ‘શાર્ક ટેન્કમાં અમને ઘણી સારી સલાહ આપી’શાર્ક ટેન્કનો અનુભવ શેર કરતા તેઓ જણાવે છે કે, શાર્ક ટેન્ક માટે જૂનમાં એપ્લાય કર્યું હતું. એના ત્રણેક સ્ટેજ હોય છે. પહેલા ફોર્મ ભરાય, પછી ક્વેશ્ચન થાય, પછી મુંબઈમાં ઓડિશન કરે, એ પછી ફાઇનલ શૂટ થાય. શૂટનો મતલબ એ નથી કે એપિસોડ ટેલિકાસ્ટ થશે. એમાંથી સિલેક્ટ કરીને પબ્લિશ કરે. એમણે અમને ઘણી સારી સલાહ આપી અને સુધારો કર્યો. અનુપમે અમને કહ્યું કે 'સર, હું તમારામાં ઇન્વેસ્ટ નથી કરતો કારણ કે હું ઇન્વેસ્ટ કરું ત્યારે કેટલીક વાર પ્રમોટરને ખખડાવવા પડતા હોય છે, પણ તમને હું ખખડાવી નહીં શકું જેથી હું ઇન્વેસ્ટ કરવા માંગતો નથી. ‘હું જોઉં છું કે 2-3 વર્ષમાં તમારા બેમાંથી એક અહીંયા શાર્કની સીટ પર બેઠા હશે.' મેં કહ્યું 10 વર્ષમાં એવીઆ યુનિકોર્ન બનશે.અત્યારે અમે પોતાનું ફંડ વાપરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટમેન્ટ શોધીએ છીએ.’
ફૂડ ડિલિવરી બોયનું કારસ્તાન:સુભાનપુરામાં કચરો નાખવા નીકળેલી નર્સને અડપલાં કરીને ભાગી ગયો
સુભાનપુરા વિસ્તારમાં હેલ્મેટ પહેરીને આવેલો ફુડ ડિલિવરી બોય ચાલતી જતી નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. જોકે તેમણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાન પકડાવી માફી મગાવી હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા શનિવારે રાત્રે 11-45 કલાકના અરસામાં કચરો ફેંકવા ચાલતી બહાર નીકળી હતી. દરમિયાન એક અજાણ્યો બાઈક ચાલકે નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. નર્સ ગભરાઈ ગઇ છતાં તેણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે નર્સની છેડતી કરનાર દિવાળીપુરા શંકરપાર્ક સોસાયટીમાં રહેતા અમિત નટુભાઈ પઢિયારને પકડી પાડ્યો હતો અને મહિલા સામે કાન પકડાવી માફી પણ મગાવી હતી. પોલીસે તપાસ કરતાં અમિત સામે અગાઉ ગોત્રીમાં દારૂ પીધેલા હોવાનો કેસ નોંધાયો હતો. મહિલાઓની છેડતી કરનારા કોઇ પણ આરોપીને છોડાશે નહીંમહિલાની છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુદી-જુદી ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. > કે.એન.લાઠિયા, પીઆઈ, ગોરવા પોલીસ સ્ટેશન ભાસ્કર ઇનસાઇડરાત્રે ખીચડીનો ઓર્ડર આવ્યો સીસીટીવી ફૂટેજથી પકડાયોરાત્રે 11-30 વાગ્યાની આસપાસ ફુડ ડિલિવરી એપ પરથી ઓનલાઇન ઓર્ડર લેવા અમિત પઢિયાર રાત્રે જઈ રહ્યો હતો. આ દરમિયાન નર્સ એકલી જણાતાં તેણે છેડતી કરી હતી. પોલીસે આખી રાત દરમિયાન 30થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી કાઢ્યા હતા. જેમાં સવારે 6 વાગ્યે કામનો સીસીટીવી મળ્યો હતો. તપાસ જલારામ ખીચડી સુધી પહોંચી અને ત્યાંથી અમિતની જાણકારી વધુ સ્પષ્ટ મળતાં પોલીસે તેને ઘરેથી પકડી કરી હતી.
જીવલેણ હુમલો:અકોટામાં બાઈકને બ્રેક મારવા મુદ્દે ઇજનેર પર 2 શખ્સનો ચપ્પુથી હુમલો
સેવાસી કેનાલ રોડ ખાતે રહેતા યતીશ જાધવ સયાજીગંજની ઝવેરી સિક્યુરિટીમાં આઈટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. શનિવારે બપોરે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કારે ટર્ન લેતાં યતીશે બાઇકને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન યતીશની પાછળ આવી રહેલા બાઈક સવાર બે શખ્સો બ્રેક મારવાના મુદ્દે બોલાચાલી કરવા લાગ્યા હતા. તેઓએ યતીશને અપશબ્દો બોલી અચાનક બ્રેક કેમ મારે છે? તેમ કહી ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. બંનેમાંથી એક યુવકે ચપ્પુ કાઢીને યતીશને સાથળના ભાગે મારી દીધું હતું. બંને જણા યતીશને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ મામલે જે.પી. રોડ પોલીસે તપાસ હાથ ધી છે.
હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કૈલાસ માન સરોવરની યાત્રા મેના મધ્યથી સપ્ટેમ્બર સુધી થશે. આ વર્ષે કૈલાસ માન સરોવર યાત્રામાં સુભગ સમન્વય થઈ રહ્યો છે. હિન્દુ ધર્મના અધિક માસ અને તિબેટિયન હોર્સ યર પણ આ વર્ષે જ યાત્રા દરમિયાન આવતા હોવાથી એક પરિક્રમાનું પુણ્ય બૌદ્ધ ધર્મ પ્રમાણે 13 પરિક્રમાનું અને અધિક માસ પ્રમાણે 10નું પુણ્ય માનવામાં આવે છે. ચીનની સરકાર દ્વારા ગત વર્ષે મંજૂરી આપતાં યાત્રા શરૂ થઈ હતી. આ વર્ષે ચીન સરકાર દ્વારા મંજૂરી અપાય તે તારીખથી યાત્રાનો પ્રારંભ થશે. નેપાળથી સ્થાનિક ટુર ઓપરેટરો દ્વારા યાત્રાનું આયોજન કરાય છે. અધિક મહિનો હોવાથી દર વર્ષે જતા 20 હજાર યાત્રીઓથી સંખ્યા વધવાનું અનુમાન છે. બીજી તરફ બુદ્ધ અને જૈન ધર્મના લોકો પણ ચીન, તિબેટ અને નેપાળથી આવશે. આ યાત્રા માટે ટુર ઓપરેટરો, કથા આયોજકો દ્વારા આયોજન હાથ ધરાઈ રહ્યાં છે. વડોદરા અને રાજકોટના કથાકારોની પણ કથા ત્યાં થવા જઈ રહી છે. 15 હજાર સ્ક્વેર ફીટની ઊંચાઈથી 18,600 સ્કેવર ફીટની ઊંચાઈ સુધી આ યાત્રા થતી હોય છે. સમગ્ર પ્રવાસ 12 થી 15 દિવસનો હોય છે. ડોલરના ભાવની વધઘટની અસર થશેચીનની સરકાર 1600 ડોલર ફી વસૂલે છે. આ વર્ષે તેમણે 300 ડોલરનો વધારો કર્યો હોવાની જાહેરાત કરી છે. જોકે તે અંગે નેગોશિયેશન ચાલી રહ્યું છે. 1600 થી 1900 ડોલરની વચ્ચે યાત્રીઓએ ચૂકવવાના થઈ શકે છે. બીજી તરફ ડોલરના ભાવમાં વધઘટને કારણે પણ ભારતીય કરન્સીને બદલે ડોલરમાં ચુકવણું આ વર્ષે કરવું પડશે. આ સિવાય યાત્રાનો ખર્ચ 75 હજારથી 1.25 લાખ જેટલો વ્યક્તિ દીઠ થતો હોય છે. હેલિકોપ્ટરથી યાત્રામાં તબિયત બગડી શકેકૈલાસની યાત્રા વાહન દ્વારા કરવામાં આવે તો ત્યાંના હવામાન અને ઊંચાઈ મુજબ શરીર ટેવાય છે. હેલિકોપ્ટરથી કરવામાં આવે તો અચાનક ગરમીમાંથી ઠંડી અને ઊંચાઈ ઉપર જવાને કારણે તબિયત બગડી શકે છે. ઓક્સિજનની પણ સમસ્યા થઈ શકે છે. > કુણાલ પટેલ, ઓમ ટ્રાવેલ્સ, રાજકોટ હોર્સ યર શું છે?તિબેટિયન હોર્સ યર 14 વર્ષે આવતું હોય છે, જેને કૈલાસ મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પણ કૈલાસ માન સરોવરને પૂજ્ય માને છે. ગત 2014માં તિબેટિયન હોર્સ યર આવ્યું હતું ત્યારબાદ આ વર્ષે આવતું હોવાથી એક પરિક્રમાનું ફળ 13 ગણું જેટલું મળશે અને ત્યાં મહાકુંભ સર્જાશે. 52 કિમીની કૈલાસની પરિક્રમામાન સરોવરથી શરૂ કરી કૈલાસની પરિક્રમા 52 કિમીની થતી હોય છે, જે 3 દિવસમાં પૂરી કરાય છે. વચ્ચે બે રાત્રીનું રોકાણ હોય છે. પરિક્રમામાં મહત્તમ ઊંચાઈ 18,600 ફૂટ હોય છે. વડોદરાના જયદેવ પ્રસાદની સવાર-સાંજ કથા વડોદરાના કથાકાર જયદેવ પ્રસાદ શાસ્ત્રીની ભાગવત સપ્તાહ યોજાશે. પ્રથમ વખત શહેરના કથાકારની કથાનું આયોજન થઇ રહ્યું છે. 1 થી 16 જુલાઈ દરમિયાન સમગ્ર પ્રવાસ યોજાશે. કૈલાસ પર્વત અને માન સરોવરની વચ્ચે આવેલા ડાર્ચેન સિટી ખાતે કથા યોજાશે. સવાર-સાંજ બે ટાઇમ કથા યોજાશે. વડોદરા અને આસપાસના 100 જેટલા ભક્તો આ યાત્રામાં જોડાશે. જ્યારે રાજકોટના કથાકાર જોગી દાદાની કથા પણ આ જ સિટીમાં 8 થી 22 જૂન દરમિયાન કથા યોજાશે.
પ્રજાનો અવાજ:માંજલપુરને સાંજે ટ્રાફિક,પાર્કિંગ પજવે છે, રહીશોને નવા બગીચાઓની પણ ઝંખના
શહેરના શાંત અને રમણીય વિસ્તાર માંજલપુરના રહીશો રસ્તા પર નીકળે ત્યારે દરરોજ સાંજે ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગના ભરડામાં ફસાઇ જાય છે. આ વિસ્તારને સૌથી મોટો, પજવતા પ્રશ્નો આ છે. બ્રિજ અને ગટર લાઇનની કામગીરી થઇ રહી હોવાથી કેટલાક રસ્તાઓ પર આ સમસ્યા વધુ વકરી છે. દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશો સાથેના સંવાદમાં બીજી પણ કેટલીક સમસ્યાઓ સામે આવી. આ વિસ્તારની ફૂટપાથો કાંતો ખખડધજ છે, નજરે જ ચઢતી નથી, કાંતો લારીઓના દબાણોનો રાફડો ફાટ્યો છે. પાણીની સમસ્યા અનેક નગરો અને સોસાયટીઓમાં છે. પ્રમુખ પ્રસાદ, સુરભીપાર્ક, સપ્તગિરિ, નિર્માણપાર્ક, મોહન પાર્ક ઉપરાંત વિશ્વામિત્રી રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર. પાણીનું પૂરતું પ્રેશર આવતું નથી. લોકોએ જણાવ્યું આ વિસ્તારનો વિકાસ જ એવી રીતે થયો છે કે, મોટા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સીસ એવી જગ્યાએ છે કે, જેના લીધે સાંજે પાર્કિંગ, ટ્રાફિક જામ અને સૌથી જોખમી રોંગસાઇડ ડ્રાઇવિંગ વધ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો રસ અને આદેશ આ સમસ્યાના નિરાકરણનો રામબાણ ઇલાજ લોકો માને છે. આ ઉપરાંત માંજલપુરના જીઆઇડીસી તરફના છેવાડેં રહેતા રહીશોએ એક નવા હરિયાળા બગીચાનીએક ઝંખના જાહેર કરી હતી. શોપિંગ કોમ્પ્લેક્સો અને સાંકડા રસ્તાઓ સમસ્યા માટે જવાબદારમાંજલપુર વિસ્તારના લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારોના રસ્તાઓ હવે સાંકડા પડે છે. કારણ કે માંજલપુરમાં ઠેર ઠેર શોપિંગ કોમ્પ્લેક્સો, હોટેલ-રેસ્ટોરન્ટ્સ એટલા ખુલ્યા છે કે, લોકો બહાર નીકળે છે, પાર્કિંગની જગ્યા ન હોવાથી રસ્તા પર પાર્કિંગ કરતા ટ્રાફિક અવરોધાય છે અને વાહનાના ધુમાડાને લીધે પ્રદુષણની સમસ્યા સર્જાય છે. દ્વિચક્રી વાહનચાલકોને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા અંગે રહેવાસીઓનો મત
ગેસ વિતરણ પર તંત્રની બાજ નજર:ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ-પોલીસ કર્મી તૈનાત
શહેરમાં ગેસ બોટલનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 થઇ રહ્યું છે. ગેસના બોટલોનો પૂરતો જથ્થો હોવાનો પુરવઠા વિભાગનો દાવો કર્યો છે. જોકે ખાડી દેશોમાંથી નવો જથ્થો ક્યારે આવશે તે વિશે તંત્ર પાસે કોઇ જાણકારી નથી. બીજી તરફ દરેક ગેસ એજન્સી પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની તહેનાતી કરવામાં આવી છે. પુરવઠા વિભાગે 15 માર્ચે જાહેર કરેલા આંકડા મુજબ વડોદરા જિલ્લામાં ત્રણેય મુખ્ય કંપનીઓમાં કુલ 20,740 બોટલનો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લામાં એલપીજીનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 સિલિન્ડર છે. એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નાગરિકો સુધી પહોંચે અને રાંધણ ગેસના જથ્થાનું કોઈ પણ પ્રકારે અનધિકૃત વેચાણ ન થાય તે માટે સરકાર દ્વારા સઘન મોનિટરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર દરેક ગેસ એજન્સીની બુકિંગ ઓફિસ તેમજ ગોડાઉન સ્થળેથી થતા બુકિંગ, સપ્લાય અને ડિલિવરીની પ્રક્રિયાનું પ્રત્યક્ષ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ માટે દરેક ગેસ એજન્સીના સ્થળે કામકાજના સંપૂર્ણ સમય દરમિયાન એક મહેસૂલ કર્મચારી અને એક પોલીસ કર્મચારી સતત હાજર રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આદેશોના પાલન માટે જરૂરી પોલીસ બંદોબસ્ત અને મહેસૂલી સ્ટાફની ફાળવણી અંગેની આનુષંગિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી છે. પાઇપ્ડ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહક માટે ઘરેલુ સિલિન્ડર રાખવા પર પ્રતિબંધપાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન હોય તે વ્યક્તિ હવેથી ઘરેલુ ગેસ એટલે કે એલપીજી કનેક્શન રાખી શકશે નહીં. આ ઉપરાંત આવા ગ્રાહકો કોઈ પણ સરકારી તેલ કંપની કે તેમના વિતરકો પાસેથી ઘરેલુ ગેસ સિલિન્ડરનું રિફીલિંગ પણ મેળવી શકશે નહીં. જે વ્યક્તિઓ પાસે હાલમાં પીએનજી અને એલપીજી એમ બંને કનેક્શન છે, તેમણે તાત્કાલિક અસરથી પોતાનું ઘરેલુ ગેસ કનેક્શન પરત કરવાનું રહેશે. જે ગ્રાહકો પહેલેથી જ પીએનજી કનેક્શન ધરાવે છે તેમને નવું ઘરેલુ એલપીજી કનેક્શન પૂરું પાડવું અથવા ગેસ સિલિન્ડર રિફીલ સપ્લાય કરવો એ હવે પ્રતિબંધ કૃત્યો હેઠળ ગણાશે. બંને પ્રકારનાં કનેક્શન રાખનાર લોકો સામે કાર્યવાહી કરાશે. હોસ્પિટલ, છાત્રાલયો સહિતની સંસ્થાઓને પીએનજી જોડાણમાં અગ્રતા અપાશે: કલેક્ટરસરકારી અને ખાનગી હોસ્પિટલો, છાત્રાલયો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો અને અંધજન મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓને તેમની તાકીદની જરૂરિયાત મુજબ કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં આવશે. સાથે જ આ સંસ્થાઓને તાત્કાલિક પીએનજી કનેક્શન મેળવી લેવા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા તાકીદ કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડને આ સંસ્થાઓને ગેસ કનેક્શનમાં પ્રાથમિકતા આપવા પણ સૂચના આપવામાં આવી છે.
શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે. સયાજીગંજમાં આવેલા જૂના સિટી બસ સ્ટેન્ડની જગ્યાએ 7 કરોડથી વધુના ખર્ચે નવું ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન અને આધુનિક બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇ-બસોના સંચાલનને સરળ બનાવવાનો છે. નવા ચાર્જિંગ સ્ટેશનથી ઇ-બસોને ઝડપથી ચાર્જ કરવાની સુવિધા મળશે, જેને કારણે જાહેર પરિવહન વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનશે. શહેરના કેન્દ્ર સ્થાને આવેલું આ બસ સ્ટેશન હજારો મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ તરીકે કામ કરે છે. નવા પ્રોજેક્ટના અમલ પછી મુસાફરોને વધુ સુવિધાજનક અને આધુનિક જાહેર પરિવહન સેવા મળશે. નવા સિટી બસ સ્ટેશનમાં આ સુવિધા હશે
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા નજીક ભવાનીનગરમાં 6 મહિનાથી ગટર ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. પાલિકા તંત્રને ફરિયાદ કરી છતાં નિકાલ ન આવતાં અંતે રહીશોએ જાતે જ ગટરની સફાઈ શરૂ કરી હતી. ગટરમાં કિશોરને ઉતારી ડોલે-ડોલે ગંદું પાણી ઉલેચ્યું હતું. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસે ભવાની નગરમાં 6 મહિનાથી ડ્રેનેજ ઊભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓને અનેકવાર ફરિયાદો કરી હતી, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. 4 દિવસથી ગટરો ઊભરાઈને આસપાસના વિસ્તારમાં ફેલાતી હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ તસદી લેવામાં નહીં આવતાં અંતે રહીશોએ જાતે ગટર સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. મહિલાઓએ એકત્ર થઈ કિશોરને ગટરમાં ઉતારી ગટરનું પાણી ઉલેચી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 6 મહિનાથી તકલીફ પડે છે, પરંતુ એક પણ વ્યક્તિ વિસ્તારમાં જોવા આવતો નથી. આ વિસ્તાર રેલવેમાં આવે છે તેમ કહી અધિકારીઓ છટકી જાય છે. ત્યારે નાછૂટકે આ વખતે જાતે જ ગટર સફાઈ કરવી પડી રહી છે. પહેલાં ગટર સાફ કરો પછી વોટ માગવા આવજોઃ રહીશોગટરની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ ચૂંટણી ટાણે વોટ માગવા આવતા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ કહ્યું, વોટ માટે નેતાઓ વિસ્તારમાં આવે છે, પરંતુ સમસ્યાઓની ફરિયાદ કરીએ તો જોવા પણ નથી આવતા. આગામી દિવસોમાં મહાનગર પાલિકાની ચૂંટણી આવશે. અમે નેતાઓને ચોખ્ખું કહીએ છીએ કે, પહેલાં અમારા વિસ્તારની ગટરની સફાઈ કરો અને પછી જ વોટ માગવા આવજો. નહીં તો આ વખતે એક પણ વોટ નહીં મળે.
કમાટીબાગમાં 17 વર્ષીય સગીરાની વૃદ્ધ દ્વારા છેડતી કરાતી હોવાની ત્રાહિત દંપતીએ અભયમને જાણ કરી હતી. જેને પગલે ટીમ સ્થળ પહોંચી હતી. અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, પાડોશી યુવતી સાથે વાતચીત કરવા બાબતે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા શુક્રવારે પરોઢિયે 5 વાગે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. શુક્રવારે આખો દિવસ તે કમાટીબાગમાં બેઠી હતી. સાંજે વૃદ્ધ તેની છેડતી કરતો હોવાથી એક દંપતીએ તેને સાથે લઈ ગયું હતું અને આખી રાત પોતાની પાસે રાખી હતી. તે પછી શનિવારે બપોરે 11 વાગે દંપતીએ અભયમને જાણ કરી હતી. જે બાદ ટીમે દાદા-દાદીનું કાઉન્સેલિંગ કરીને સગીરાને તેનાં માતા-પિતાને સોંપી હતી. કારેલીબાગ સંગમ વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી 17 વર્ષીય સગીરા ગુરુવારે રાત સુધી પાડોશમાં રહેતી યુવતી સાથે વાતો કરી રહી હતી. જેથી તેનાં દાદા-દાદીએ તેને બાબતે ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં શુક્રવારે પરોઢિયે 5 વાગે તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જેથી દાદી-દાદીએ માતા-પિતાને જાણ કરી તેની શોધખોળ કરી હતી. બીજી બાજુ શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં દંપતીએ અભયમને ફોન કરી સગીરા વિશે જાણકારી આપી હતી. અભયમની ટીમ સગીરા પાસે પહોંચી ત્યારે દંપતી પણ હાજર હતું અને તેઓએ સમગ્ર બાબત જણાવી હતી. સગીરાએ ટીમને જણાવ્યું કે, તેને તેનાં દાદા-દાદી પાસે જવું છે. જેથી અભયમની ટીમ દાદા-દાદીને ઘરે પહોંચી હતી. ટીમને જાણવા મળ્યું કે, તેમના પાડોશમાં રહેતી છોકરી તેમની પૌત્રીને જુદા જુદા છોકરા સાથે મેળવે છે અને વાતચીત કરાવે છે. સગીરાએ જણાવ્યું કે, છોકરીએ તેને યુવકોના નંબર પણ આપ્યા હતા પણ તેણે વાત નથી કરી. અભયમની ટીમે માતા- પિતાને જાણ કરતાં તેઓ પહોંચી ગયાં હતાં. સગીરાને સમજાવ્યું કે, હાલ ભણવામાં ધ્યાન આપે. આ રીતે ઘર છોડીને જવું તે યોગ્ય નથી. દંપતીએ છેડતીની જાણ કોઈને ન કરી, સગીરાને સાથે લઈ ગયુંકોઈ વૃદ્ધ કમાટીબાગમાં શુક્રવારના રોજ મોડી સાંજે સગીરાની છેડતી કરી રહ્યો હતો. જેથી અજાણ્યું દંપતી સગીરાને પોતાની સાથે લઈ ગયું હતું. જોકે જે તે સમયે દંપતીએ પોલીસ કે અભયમને જાણ કરી નહોતી. આ સાથે સગીરા પણ દંપતી સાથે જતી રહી હતી અને તેમની સાથે આખી રાત રહી હતી.
સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી પડી હતી. ભ્રષ્ટાચારને ભેટ ચઢી ગયેલી ટાંકી બનાવનાર જયંતીસુપર કન્સ્ટ્રક્શન પ્રા.લિ. નામના કોન્ટ્રાક્ટર વડોદરામાં 154.37 કરોડના ખર્ચે 2 ટાંકી સહિત અન્ય કામ કરી રહ્યા છે. જોકે સુરતના બનાવ બાદ વુડા દ્વારા કોન્ટ્રાક્ટરને બધા ટેસ્ટ ફરી કરાવવા પત્ર લખીને સંતોષ મનાઈ રહ્યો છે. વડોદરાના પૂર્વ સીમાડે આવેલા સયાજીપુરા, અણખોલ, ખટંબા, શંકરપુરા, હનુમાનપુરા, આમોદર, સિકંદરપુરા, જેસિંગપુરા, બાકરોલ, પવલેપુરા અને શ્રીપોર-ટીમ્બી ગામો સહિત 110 જેટલી સોસાયટી મળી 1.10 લાખ લોકો માટે વુડાએ પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શ્રીપોર-ટીંબી ગામમાં એક 25 લાખ લિટરની અને બીજી 15 લાખ લિટરની ટાંકી, ફિલ્ટરેશન પ્લાન્ટ, સંપ તથા પાઇપ લાઇન નખાશે. 154.37 કરોડના પ્રોજેક્ટનું કામ મહેસાણાના કોન્ટ્રાક્ટર જયંતીસુપર કન્સ્ટ્રક્શને સોંપ્યું હતું. નવેમ્બર-2022થી જયંતીસુપર કન્સ્ટ્રક્શને કામ શરૂ કર્યું છે, જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું. આ કામમાં ચોમાસાના 3 મહિના બાકાત રખાયા હતા. જોકે હજી ઘણું કામ બાકી છે. દરમિયાન સુરતના તડકેશ્વરમાં જયંતીસુપર કન્સ્ટ્રક્શને બનાવેલી ટાંકી 19 જાન્યુઆરીએ ટેસ્ટિંગ વખતે કડડભૂસ થતાં રાજ્યભરમાં ચર્ચા જાગી હતી. આ બનાવમાં માંડવી પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ વુડાએ જયંતીસુપર કન્સ્ટ્રક્શન પર ભરોસો રાખી 154 કરોડનો કોન્ટ્રાક્ટ યથાવત્ રાખ્યો છે. સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લેવા માટે કાગળ લખ્યો છેજયંતીસુપર કન્સ્ટ્રક્શને તડકેશ્વરમાં બનાવેલી ટાંકી તૂટ્યા બાદ ફરી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ મેળવી લેવા કાગળ લખ્યો છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને જાણ કરી છે કે જે ટેસ્ટિંગ કરવાના એ કરી રિઝલ્ટ મોકલો. > ડી.જી. પાઠક, ઈ. એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, વુડા ભાસ્કર એક્સપર્ટISI કોડ પ્રમાણિત મટિરિયલ છે કે કેમ તે તપાસવું જોઈએથર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ જવાબદારી એકબીજાના માથે નાખવાનું હાથવગું સાધન છે. મટિરિયલની ગુણવત્તા ચકાસવા સાઇટ ઇજનેરે રેગ્યુલર વિઝિટ કરવી જોઈએ. ટેન્ડરની શરત મુજબનું ISI કોડ પ્રમાણિત મટિરિયલ આવ્યું છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ટાંકી બાંધવાના કોડ જુદા હોય છે. મેથડ ઓફ કન્સ્ટ્રક્શન ચેક થવી જોઈએ. - ડૉ.આઈ.આઈ. પંડ્યા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર 2022માં કામ શરૂ કર્યુ, 3 વર્ષમાં પૂરું કરવાનું હતું, હજુ અધૂરું
મોરબી ખાતે કાર્યરત અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાન (ગુજરાત સરકારની સંસ્થા), સેક્ટર-12 ગાંધીનગર ના સહયોગથી માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ મોરબી ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ તાલીમ દરમિયાન ભાગ લેનાર બહેનો અને યુવાનોને સોફ્ટ સ્કિલ્સ,ઉદ્યોગ સાહસિકતા,ઓનલાઈન પેમેન્ટ અંગે માહિતી માર્કેટિંગ સ્કીલ્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા . પાંચ દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને વ્યવસાય શરૂ કરવો, વ્યવસાય સંચાલન, ગ્રાહક વ્યવહાર, ડિજિટલ ચુકવણી અને બજારમાં ઉત્પાદનનું યોગ્ય માર્કેટિંગ કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અર્પિત મહિલા ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના ટીમ મેમ્બર ધર્મેશભાઈ તથા અન્ય સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું. અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા આવી તાલીમ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ નવલિકા લોહીની સગાઈમાં સમાજ, કુટુંબના અપમાનના કડવા ઘુંટડા સહન કરીને પણ મનોદિવ્યાંગ પુત્રી મંગુની રાત દિવસ જોયા વગર સેવાચાકરી કરી જાતને સમર્પિત કરનાર માતા અમરતકાકીનું પાત્ર અમર થઈ ગયું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના કરતાં પણ રવાપર રોડ ઉપર આવેલા સુભાષનગરમાં રહેતા આર્થિક રીતે સુખી સંપન્ન દુર્ગાબેન કૈલા મમતામયી લાગણી દર્શાવવામાં એક ડગલું આગળ વધી સવાયા સાબિત થયા છે. દુર્ગાબેને પોતાની દિવ્યાંગ પુત્રી જ નહીં આવા અન્ય ઈશ્વરની ભેટ સમાન વિશિષ્ટ બાળકોનું જીવન બહેતર બનાવવા 20 વર્ષથી જે સંઘર્ષ કર્યો છે એ સમાજ, ખાસ કરીને માતાઓ માટે મિશાલરૂપ બન્યો છે. જેમાં વર્ષ 1991માં તેમની પુત્રી નેહાનો જન્મ થયો હતો. પરંતુ થોડા સમય જ તેનું વર્તન કે વાણી અન્ય નોર્મલ બાળક જેવી ન હોવાથી ડોક્ટરને બતાવવા ગયા ત્યારે પુત્રી 80 થી 90 ટકા માનસિક રીતે દિવ્યાંગ હોવાની ખબર પડી હતી. બૌદ્ધિક ક્ષમતા જ ન હોવાથી ભણી શકે એમ ન હોય પણ વર્તન નોર્મલ થાય તે માટે નેહા થોડી મોટી થતા બે ત્રણ બાલ મંદિરમાં મૂકી હતી. પણ થોડા દિવસોમાં ત્યાંથી જાકારો મળ્યો આમ છતાં તેઓ હતાશ થયા વગર કે આઘાતથી ભાંગી પડવાને બદલે દ્રઢ નિશ્ચર્ય કર્યો કે મારી પુત્રીનું ભવિષ્ય અંધકારમય બનવા નહિ દઉં. અને આ સંકલ્પ બાદ વર્ષ 2004માં મનો દિવ્યાંગ શાળા શરૂ કરાવી હતી. જેમાં તેમની પુત્રી સહિત 40 મનો દિવ્યાંગ બાળકોને ચાર કલાકનું સામાન્ય જ્ઞાન આપે છે. પોતે અને સ્ટાફે પણ તાલીમ લીધીદુર્ગાબેનની બાજુમાં રહેતા એક બહેનનું બાળક પણ મનો દિવ્યાંગ છે. એટલે આ બહેન પોતાના બાળકનું વર્તન સુધારવા જૂનાગઢની મનોદિવ્યાંગ શાળામાં ગયા હતા. આથી દુર્ગાબેન પણ તેમની સાથે જઈને મનો દિવ્યાંગ શાળામાં મહિનાઓ સુધી સઘન તાલીમ લીધી હતી. પછી જ એમણે મોરબીમાં આવીને મનો દિવ્યાંગ શાળા શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય પાંચ મહિલા સ્ટાફને પણ જુનાગઢની મનો દિવ્યાંગ શાળામાં તાલીમ લેવડાવી હતી. જો કે આ પાંચમાંથી ત્રણ મહિલા અહીં જ ભણતા દિવ્યાંગ બાળકોના માતા છે. આ 20 વર્ષથી તેઓ સહિત પાંચ મહિલાઓ આ વિશિષ્ટ બાળકોનું ભવિષ્ય સુધારવા કમર કસી રહ્યા છે. બાળકોના માનસિકઆવેગો શાંત થયાદુર્ગાબેન કહે છે કે પ્રથમ તો અમે આ મનો દિવ્યાંગ બાળકોના માનસિક આવેગો શાંત પાડવાની કોશિશ કરીએ છીએ. એમાં સુધારો થાય બાદ ચિત્રકામ, વિવિધ રમતો સહિત એને જે જે મનગમતી પ્રવૃત્તિઓ હોય તે કરાવીએ છીએ. આ બાળકો જીદી હોય એટલે એમના મનને ઠેસ પહોંચે એવું ક્યારેય વાણી કે વર્તન કરતા જ નથી. આ બાળકોને ખરેખર સાચા પ્રેમ અને હુંફની જરૂર હોય છે. આ રીતે સામાન્ય જ્ઞાન આપતા અમારી શાળાના તમામ બાળકો ખાનપાન, કપડાં પહેરવા, કોની સામે કેવી રીતે બોલવું, બાથરૂમ, ઉઠવા બેસવા સહિતની દિનચર્યા જાતે જ કરતા થઈ ગયા છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પશ્ચિમ બંગાળ-આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાતના રહ્યા. બીજા સમાચાર ઈરાનના છે, તેણે ધમકી આપી છે કે તેઓ નેતન્યાહુને શોધીને મારી નાખશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 10 રાજ્યોની 11 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થશે. 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 2. સંસદમાં બજેટ સત્રની કાર્યવાહીના બીજા તબક્કાનો છઠ્ઠો દિવસ છે. સંસદમાં LPG ના મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે. કાલના મોટા સમાચારો 1. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન:તમિલનાડુમાં 23 એપ્રિલે, આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે વોટિંગ; ગુજરાતના ઉમરેઠમાં 23 એપ્રિલે પેટાચૂંટણી; 4 મેએ તમામના પરિણામ ચૂંટણી પંચે રવિવારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી. તમિલનાડુમાં સિંગલ ફેઝમાં 23 એપ્રિલે મતદાન થશે. જ્યારે, બંગાળમાં બે ફેઝમાં 23 અને 29 એપ્રિલે મતદાન થશે. ત્રણ રાજ્યો કેરળ, આસામ અને પુડુચેરીમાં સિંગલ ફેઝ એટલે કે 9 એપ્રિલે મતદાન થશે. પાંચેય રાજ્યોનું પરિણામ 4 મેના રોજ આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટાચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે પાંચ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 17.4 કરોડ મતદારો છે. અહીં 824 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાને કહ્યું- જો નેતન્યાહૂ જીવે છે તો તેને શોધીને મારીશું: બાળકોનો હત્યારો છે; નેતન્યાહૂની હત્યાનો દાવો ઇઝરાયલે ફગાવ્યો ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને શોધીને મારવાની ધમકી આપી હતી. 'અલ જઝીરા' મુજબ, IRGC એ કહ્યું કે, બાળકોનો હત્યારો જો જીવિત છે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું. નેતન્યાહુનો 13 માર્ચના રોજ એક વીડિયો સંદેશ સામે આવ્યો હતો. આ વીડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો. ત્યારબાદ એવો પણ દાવો કરવામાં આવ્યો કે નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે. પરંતુ ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે વડાપ્રધાન સુરક્ષિત છે અને આવા અહેવાલો ફેક ન્યૂઝ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, એક આતંકી ઠાર:બુછારમાં ઓપરેશન DIGGI-2 ચાલુ; પૂંછમાં ઓપરેશન શેરીકલાં દરમિયાન જવાન શહીદ કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં 'ઓપરેશન DIGGI-2' દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો. આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાના જવાનોએ નિયંત્રણ રેખા એટલે કે LoC પાસે કેટલીક હલચલ જોઈ. ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું. 14-15 માર્ચની રાત્રે બુછાર વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આમાં આતંકવાદી માર્યો ગયો. સેનાએ આતંકવાદી પાસેથી હથિયારો જપ્ત કર્યા છે, જેમાં એક AK રાઇફલ, પિસ્તોલ અને દારૂગોળો શામેલ છે. ઓપરેશન હાલમાં ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 950નો બાટલો રૂ. 3500માં મળે છે:ગેસ એજન્સીઓ પર સવારે 4 વાગ્યાથી લાઈનો લાગી; સુરતમાં રેલવે સ્ટેશને ભીડ, લોકો વતનની વાટ પકડી અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશમાં LPG સંકટ વધી ગયું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ-ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં સિલિન્ડર માટે સવારથી જ ગેસ એજન્સીઓ અને ગોડાઉન પર લાઇનો લાગી ગઈ છે. LPG સંકટને કારણે ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ વધી ગઈ છે. 950 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 3500 રૂપિયામાં અને 2 હજાર રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 5 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોના ગેસ સંકડ વચ્ચે હવે ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી વતનની વાટ પકડી રહ્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ગિલ-મંધાના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર:2 વર્ષમાં ICC ટ્રોફી જીતનારી પાંચેય ટીમો સન્માનિત, દ્રવિડ-મિથાલીને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને રવિવારે BCCI ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે BCCI દ્વારા 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. BCCI રવિવારે દિલ્હીમાં નમન એવોર્ડ 2026નું આયોજન કર્યું. આ દરમિયાન ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજને BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. આ સાથે અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેને ડોમેસ્ટિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે લાલા અમરનાથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:રાજકારણીના પોલીસ પ્રોટેકશનની અરજીમાં પોઝિટિવ અભિપ્રાય આપવા લાંચ માગી હતી ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. ગુજરાતમાં આ કદાચ IBનો પ્રથમ PI હશે જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હોય. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કિંજલ રબારી બાદ હવે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માંગ:રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ, 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન વાવ-થરાદ અને ભાભર પંથકમાં સામાજિક સૌહાર્દ અને દીકરીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શિનાવાડની સિંગર કિંજલ રબારીના કિસ્સામાં ચૌધરી સમાજે મધ્યસ્થી કરી દીકરીને પરત સોંપ્યા બાદ, હવે રૂની ગામના ચૌધરી સમાજના પરિવારે પણ પોતાની દીકરીને પરત મેળવવા રબારી સમાજ અને પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો એક રબારી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા અનુસાર આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. દીકરીના પિતા જગમાલભાઈએ આક્ષેપ કર્યો છે કે, દીકરી ઘરમાંથી દાગીના લઈને ગઈ છે અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા પૂરતો રસ લેવામાં આવ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાજસ્થાનમાં બોમ્બ બ્લાસ્ટ માટે પાકિસ્તાનથી IED મોકલવામાં આવ્યું:4 દિવસ સુધી આરોપીઓ વિસ્ફોટકોની રાહ જોતા રહ્યા, 3 જગ્યાએ બ્લાસ્ટનું ષડયંત્ર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : નેપાળમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત:મનકામના મંદિરથી પરત ફરતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ડ્રાઇવર બચી ગયો; 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોદીને નીચ નહીં, નીચ જાતિના માણસ કહ્યા હતા:મણિશંકરે કહ્યું- તેમનું ચારિત્ર્ય નીચ, જૂઠું બોલીને- ખોટી વાતો ફેલાવીને વડાપ્રધાન બન્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુદ્ધ વચ્ચે 2 લાખ બાળકો ઘરવિહોણા, PHOTOS:ખુલ્લા મેદાનમાં પડેલી મિસાઈલ સાથે રમતો બાળક, હુમલાઓ વચ્ચે ભય-રસ્તા પર વિતી રહ્યું છે બાળપણ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : IPO ના પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોમાં ફેરફાર:મિનિમમ લિમિટ 5% થી ઘટાડીને 2.5% કરી, જિયો અને NSE નું લિસ્ટિંગ સરળ બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રેપના આરોપ બાદ RCBના બોલર યશ દયાલે કર્યા લગ્ન:પત્ની શ્વેતા છે જાણીતી ઈન્ફ્લુએન્સર, ક્રિકેટ જગતમાંથી કોઈ ન પહોંચ્યું; પરિવાર-મિત્રોની હાજરીમાં ફર્યા સાત ફેરા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યદેવનું મીન રાશિમાં ગોચર:કર્ક અને કુંભ જાતકોના ધન-વૈભવમાં વધારો થશે, સિંહ જાતકોના મિલકતના પ્રશ્નો ઉકેલાશે; 12 રાશિ પર શું અસર થશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ સૌથી લાંબા કાનવાળો ગધેડો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાના જ્યોર્જિયામાં ‘હોપ’ નામના એક ગધેડાએ સૌથી લાંબા કાનનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ગધેડાના કાનની લંબાઈ 40.20 સેન્ટિમીટર, એટલે કે અંદાજે 1 ફૂટ 3 ઈંચ છે. તેના કાન 12 ઈંચના સબવે સેન્ડવિચ કરતા પણ મોટા છે. આ પહેલા બ્રિટનના ‘બમ્બૂ’ નામના ગધેડાના નામે આ રેકોર્ડ હતો. ઉત્તર પ્રદેશમાં એક શખસે નકલી દસ્તાવેજોના આધારે બે સરકારી નોકરીઓ મેળવી લીધી અને લગભગ 33 વર્ષ સુધી બંને વિભાગોમાંથી પગાર લેતો રહ્યો. આ મામલો RTI દ્વારા બહાર આવ્યો છે. કોર્ટે આરોપીને 7 વર્ષની કેદ અને ₹30,000નો દંડ ફટકાર્યો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભક્તોનાં દાનથી કે સરકારી જમીન હડપીને બન્યા આસારામના આશ્રમ?: શી રીતે સર્જાયું ₹10 હજાર કરોડનું સામ્રાજ્ય? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: CEC જ્ઞાનેશ કુમારે ચૂંટણીની તારીખો જાહેર કરી, વિપક્ષ તેમને પદ પરથી હટાવવાની તૈયારીમાં; શું છે મમતા બેનર્જીનો આ રાજકીય દાવ? 3. સન્ડે બિગ સ્ટોરી : કોણ છે દુબઇમાં ભારતીયોની મદદ કરનારા ધીરજ જૈન?: બુર્જ ખલીફાના 141મા માળે ઓફિસ, 80 હજાર સ્ક્વેર ફૂટનું ફાર્મ હાઉસ; લોકો છૂટા પડ્યાં ત્યારે આંખમાં આંસુ હતા 4. ખાખી કવર :દેશનો સૌથી ‘ફેમસ’ સિરિયલ કિલર ‘ઑટો શંકર’: 6 હત્યા, 5 પત્ની, બે વેશ્યાગૃહો ચલાવ્યા, નેતાઓને સ્ત્રીઓ સપ્લાય કરી, જેલ તોડી છેલ્લે ફાંસીએ ચડ્યો 5. બંગાળમાં પરિવર્તન યાત્રા શું BJPને જીત અપાવશે: ભીડ ઓછી, લોકો બોલ્યા- BJPને વોટ આપીએ પરંતુ બોલવામાં જીવનું જોખમ 6. સંડે જઝબાત: પોતાના 4 દીકરા-દીકરીને ઝેર આપીને કેવી રીતે મારું?: તે આખો દિવસ પથારીમાં પડ્યા રહે છે; લગ્ન કરવાની ઉંમરે ચમચીથી જમાડું છું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ-કુંભ રાશિના સપના સાકાર થશે, મિથુન રાશિને કરિયરમાં મળશે મોટી સફળતા; જાણો તમારો દિવસ કેવો રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
આધેડને ક્રૂરતાથી મારનાર ઝડપાયા:મોરબી શહેરમાં જમીન દલાલના હત્યા પ્રકરણમાં ફરાર વધુ બે આરોપી ઝડપાયા
મોરબીના વિસીપરામા રહેતાં અને જમીન મકાન લે વેચના ધંધાર્થીનું થોડા સમય પહેલાં લાલબાગથી અપહરણ કરી માર મારી હત્યા કરી દેવાઈ હતી. તેનો કોઇ આતોપતો ન મળે તે માટે તેની લાશ પીપળી રોડ પર આવેલી બંધ ફેક્ટરીના પરિસરમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને તેના પર કોંક્રિટ ભરી ધાબુ ભરી પુરાવાનો નાશ કરાયો હતો. આ ઘટનામાં પોલીસે 7 શખ્સ સામે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી હતી અને બે આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આ બન્ને ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે તે સમયે આ ઘટનાએ મોરબીમાં ચર્ચા જગાવી હતી. મોરબીના વીસીપરામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીની તાજ મહંમદ ભટ્ટીની ગત તા 19 ના રોજ લાલબાગ નજીકથી વાતચીત કરવાના નામે બાલુભાઈ અઘારા તેની કારમાં બેસાડી અપહરણ કરી ભડીયાદ નજીક ફાર્મ હાઉસમાં લઈ જવાયા બાદ તેને 6 શખ્સએ ઢોર માર માર્યો હતો અને એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો જ્યાં તેનું ઇજાના પગલે મોત નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. માર માર્યા બાદ તાજ મહંમદ ભટ્ટીનું મોત થતાં આરોપીઓ ડરી ગયા હતા અને આરોપીઓએ બેલા ગામ નજીક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખાડામાં લાશને ડીઝલથી સળગાવી દઈ બાદમાં દાટી દીધી હતી, ઉપર માટી પાથરી તેની ઉપર ક્રોંક્રિટનું ધાબું ભરી દીધું હતું. આ ઘટનામાં 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જીતેશ બાલુભાઈ ઝાલરિયા, ભાવેશ થોભણભાઈ અધારા ફરાર હતા જેને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે જનજાગૃતિ અને સંગઠન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજ અને રાષ્ટ્ર બચાવો ઝુંબેશ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણો સામે અવાજ ઉઠાવવાનું આયોજન કરાયું હતું. આ સાથે જ પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને 200 નવા સભ્યોને કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ આપી પક્ષમાં જોડાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વિવિધ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલા દિવ્યશક્તિ પાર્ટી પ્લોટ ખાતે બપોરે કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. કોંગ્રેસ સમિતિ દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ વર્તમાન સમયમાં વકરી રહેલા ભ્રષ્ટાચાર, આરોગ્ય ક્ષેત્રે જોવા મળતી બેદરકારી અને આઇકોનિક રસ્તાના નામે જનતા સાથે થઈ રહેલી છેતરપિંડી જેવા મુદ્દાઓ પર આક્રમક રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. ખાસ કરીને યુવા પેઢીને બરબાદ કરી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે સમાજને જાગૃત કરવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આપનો હાથ, કોંગ્રેસનો સાથ અને દેશ બચાવો, કોંગ્રેસ લાવોના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો, કાર્યકરો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રહિતમાં જોડાવવા માંગતા હોય તેઓને સ્થળ પર જ 200 લોકોને પ્રાથમિક સભ્યપદ અપાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, ઋત્વીકભાઇ મકવાણા, વિક્રમભાઇ રબારી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગામ ગામની વાત:ચોટીલાનું નાના પાળીયાદ પશુપાલન, ખેતી થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી માત્ર 4 કિલોમીટરના અંતરે ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં વસેલું નાના પાળીયાદ ગામ આજે પ્રગતિશીલ ગ્રામીણ જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મુખ્યત્વે ભરવાડ અને કોળી પટેલ સમાજની વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને પરંપરાગત વ્યવસાયોના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. 1400થી વધુ વસ્તી ધરાવતા નાના પાળીયાદ ગામમાં સામાજિક સમરસતા અને ધાર્મિક આસ્થાના દર્શન થાય છે. ચોટીલાના ભાગોળે ચામુંડા માતાજી ડુંગરની પાસે ચોટીલાથી 4 કિલોમીટર દૂર નાના પાળીયાદ ગામ આવેલું છે. નાના પાળીયાદ ગામમાં ભરવાડ અને કોળી પટેલ લોકો વસવાટ કરે છે. ગામની કુલ અંદાજિત વસ્તી 1400થી વધારે છે. ગામમાં મતદારયાદી પ્રમાણે 515 પુરુષ, 465 મહિલા નોંધાયેલા છે. ધાર્મિક તહેવારોમાં ગામ લોકો ઉત્સવ હળીમળીને ઉજવે છે. નાના પાળીયાદ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેતીમાં કપાસ, મગફળી, ઘઉં, બાજરી, જુવાર, ડુંગરી અને શાકભાજી જેવા રોકડિયા પાકો લેવામાં આવે છે. નાના પાળીયાદ ગામમાં ઠાકર મંદિર, ચરમારીયા દાદાનું મંદિર ગામ લોકોના આસ્થાના મંદિર છે. નાના પાળીયાદ ગામમાં ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં 1,000થી વધારે પશુઓની સંખ્યા ધરાવે છે. તે દૂધ મંડળીમાં દૂધ આપીને આજીવિકા મેળવે છે. નાના પાળીયાદ ગામમાં પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ સુધી 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ અર્થે ચોટીલા જવું પડે છે. નાનાપાળિયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. ગામ લોકો માટે બેંક ઓફ બરોડાના બીસી પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગામ લોકોને બેંકને લગતી કામગીરી ગામમાં બેંકની સુવિધા મળી રહે છે. ગ્રામ પંચાયત દ્વારા તળેટી વિસ્તારમાં ગામ લોકોને જગ્યા ભાડે આપેલી છેનાના પાળીયાદ ગામ વિસ્તારમાં ચામુંડા માતાજી ડુંગર અને તળેટી આવેલા છે અને ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને તળેટી વિસ્તારમાં જગ્યા ભાડે આપીને ગામ લોકો દ્વારા તળેટી વિસ્તારમાં નારીયેર, પ્રસાદ, કટલરી, રમકડા વગેરે વિવિધ કામ ધંધા કરીને આવક ઉભી કરવામાં આવે છે. પાળીયાદથી ચોટીલા રોડ બનાવવા માંગચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામલોકો દ્વારા જણાવતા નાના પાળીયાદથી ચોટીલાનો રસ્તો બિસમાર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી ગામ લોકોને લોક માંગણી છે. નાના પાળીયાદ વિસ્તારમાં ચોટીલાની બીએસએનએલ ઓફિસ વન વિભાગની ઓફિસ બીઆરસી ભવન અને આઈટીઆઈમાં આવેલા છે.
સમસ્યા:જિલ્લા પંચાયતના વિકાસ કામોમાં થઇ રહેલો વિલંબ
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર કરાયેલા વિકાસ કામોમાં ગંભીર વિલંબ સામે આવ્યો છે, જેને લઈને કામગીરીની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2023 થી 2026 દરમિયાન જિલ્લા પંચાયતે કુલ 458 વિકાસ કામોને મંજૂરી આપી હતી. પરંતુ તેમાંમાંથી અત્યાર સુધી માત્ર 242 કામો પૂર્ણ થયા છે, એટલે કે લગભગ 53 ટકા કામો જ પૂર્ણ થઈ શક્યા છે. તેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે પૂર્ણ થયેલા કામોમાંથી માત્ર 17 કામો જ નક્કી કરેલા સમયમર્યાદામાં પૂર્ણ થયા છે. બાકી રહેલા કામોની સ્થિતિ વધુ ચિંતાજનક છે. 115 કામો હજુ સુધી બાકી છે અને તેમની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ છે. જ્યારે 68 કામોનું કામ તાજેતરમાં જ શરૂ થયું છે. ઉપરાંત 16 કામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અથવા તેને રદ કરવામાં આવ્યા છે. વર્ષવાર આંકડાઓ જોતા કામગીરીમાં મોટો ઘટાડો દેખાય છે. વર્ષ 2023-24 દરમિયાન પંચાયતે 250 કામોને મંજૂરી આપી હતી અને તેમાંમાંથી 204 કામો પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી, જે લગભગ 82 ટકા પૂર્ણતા દર દર્શાવે છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં સ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વર્ષ 2024-25 દરમિયાન 101 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમાંમાંથી માત્ર 32 કામો પૂર્ણ થઈ શક્યા હતા. હાલના વર્ષ 2025-26 માં તો સ્થિતિ વધુ ખરાબ રહી છે.
7 વર્ષ બાદ ફરી ‘ટિફિન બેઠક’નો દોર શરૂ:મનપા ચૂંટણી પહેલાં ભાજપનું કાર્યકર્તા સંપર્ક અભિયાન તેજ
ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે. લાંબા સમય બાદ ફરી એકવાર શહેરના તમામ 11 વોર્ડમાં ‘ટિફિન બેઠક’ યોજવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી એક અઠવાડિયામાં તમામ વોર્ડમાં આ બેઠકો પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આહ્વાન પર શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષ દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ થયો છે. મનપાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક વધારવો અને સંગઠનને પાયાના સ્તરે સક્રિય બનાવવો એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવામાં આવે છે. શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ જણાવ્યું હતું કે, ભાજપની કાર્યપદ્ધતિમાં ટિફિન બેઠક માત્ર ભોજનનો કાર્યક્રમ નથી, પરંતુ કાર્યકર્તાઓ વચ્ચે આત્મીયતા, સંવાદિતા અને પારિવારિક ભાવના વધારવાનું મહત્વનું માધ્યમ છે. આવી બેઠકોમાં પક્ષની વિચારધારા, આવનારા કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા થતી હોવાથી છેવાડાના કાર્યકર્તા સુધી સંદેશ સરળતાથી પહોંચે છે. ટૂંકમાં, ટિફિન બેઠક સંગઠનને વધુ સક્રિય, જીવંત અને શક્તિશાળી બનાવવાનું એક અસરકારક સાધન છે. તાજેતરમાં સેક્ટર-22 વિસ્તારમાં મહાનગરના મુખ્ય હોદ્દેદારોની ટિફિન બેઠક યોજાયા બાદ વોર્ડ સ્તરે બેઠકોનો દોર શરૂ થયો છે. અત્યાર સુધી વોર્ડ નં. 3, 6 અને 8માં બેઠકો પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના વોર્ડોમાં પણ આગામી દિવસોમાં આ કાર્યક્રમ યોજાશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે મનપાની ચૂંટણી પહેલાં ભાજપ સંગઠનને વધુ ગોઠવાયેલું બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક મજબૂત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. નોંધનીય છે કે શહેરમાં છેલ્લે લગભગ સાત વર્ષ પહેલાં આ પ્રકારની ટિફિન બેઠકો યોજાઈ હતી અને હવે ફરી શરૂ કરાતા રાજકીય ગરમાવો વધ્યો છે.
માનવતાનું ઉત્તમ ઉદાહરણ:જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો
જોરાવરનગર ખાતે તારીખ 06/03/2026ના રોજ આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં એ.એસ.આઈ. મુળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવક દુષ્યંતભાઈ આચાર્ય, નાનાભા જાડેજા, મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વી.ડી. ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પીલુડીયા ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો એ પણ એક માનવ સેવા છે.
ગાંધીનગર શહેરમાં વસ્તી અને વિસ્તાર વધ્યા બાદ ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વ્યાપક બની છે. આ સ્થિતિ નિવારવા માટે અને રસ્તા પર ઉભા રહેતા લારી- ગલ્લાના દબાણોને યોગ્ય રીતે એક સ્થળે ઉભા રાખી શકાય તે માટે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરો માટેના સ્થળો નિયત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ચાર વર્ષના અંતે પણ હજુ સુધી આ પોલિસીનો માસ્ટર પ્લાન તૈયાર થઇ શક્યો નથી. આ એજન્સીની મુદ્દત વધારવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી મોકલાતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે માત્ર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે અને માત્ર પેપર વર્ક નહીં લોકેશન સાથે ક્યા સ્થળે કેવા પ્રકારની પાર્કિંગ સુવિધા ઉભી કરી શકાય અને સ્ટ્રીટ વેન્ડરો માટે શું વ્યવસ્થા ગોઠવી શકાય તે સહિતની તમામ બાબતો અસરકારક રીતે દર્શાવીને ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પોલીસીના માસ્ટર પ્લાન માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખા તેમજ ઇજનેરી શાખાના અધિકારીઓને પણ સ્થળ તપાસ કરીને ચોક્કસ તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો ડ્રાફ્ટ 20023માં જાહેર કરીને નાગરિકોના મંતવ્યો, વાંધા- સૂચનો મંગાવ્યા હતા પરંતુ તે પછી કોઇ પ્રક્રિયા થઇ ન હતી. બીજીતરફ એજન્સીને પોલીસીમાં વધુ ચોક્કસ કામગીરી કરવા કહેવાયું હતું પણ તેના ત્રણ વર્ષ બાદ પણ અસરકારક પોલીસી તૈયાર થઇ શકી નથી. માત્ર સ્થળ જ નહીં, વિકલ્પો પણ માગવામાં આવ્યાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે એજન્સીના પ્લાનમાં ચોક્કસ ક્યા પ્લોટ, ક્યા સ્થળો, કેટલા વાહનો માટે પાર્કિંગ થશે તેની સાથે વિકલ્પો પણ માંગવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડરો કેટલા છે અને તેમના માટે પાત્રતા કેટલી રાખવી, ક્યા વિસ્તારમાં જગ્યા આપી શકાય તેનો પણ સરવે કરી માહિતી આપવા કહેવાયું છે. અત્યારસુધીમાં ઘણો સમય વ્યતિત થયો હોવાથી હવે માત્ર એક અઠવાડિયામાં તમામ કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે. બેઝમેન્ટ ખોલવા બિલ્ડરો- સંચાલકો સાથે બેઠકો યોજાશેએજન્સીના સરવેમાં જણાયું છે કે કોમ્પ્લેક્સના બેઝમેન્ટ ખાલી રહેવાથી રોડ પર પાર્કિંગ થાય છે. જેથી બેઝમેન્ટના સંચાલકો, વેપારી એસોસિએશન સાથે બેઠકો યોજીને બેઝમેન્ટમાં મહત્તમ પાર્કિંગ થાય તેની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના અપાઇ છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા માટે પણ સમજાવાશે.
બેઠકોનું અંતિમ સીમાંકન જાહેર:ચૂંટણી આયોગે જિ.પંચાયતની બેઠકોની ફાળવણી યથાવત્ રાખી
રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા પંચાયતની 28 બેઠકોના સીમાંકનનો અંતિમ આદેશ આપી દીધો છે. માણસા તાલુકાની બેઠકો બાબતે મળેલા વાંધાઓ છતાં પ્રાથમિક આદેશમાં કોઈ બદલાવ કરાયો નથી. આ સાથે કલોલ નગરપાલિકાના 11 વોર્ડ અને તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન પણ સ્પષ્ટ કરી દેવાયું છે. ચૂંટણી આયોગના આખરી આદેશ મુજબ જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી નક્કી થઈ છે. તાલુકામાં અડાલજ, ઉવારસદ સામાન્ય સ્ત્રી, જ્યારે છાલા, ચિલોડા, ડભોડા પછાત વર્ગ માટે ફાળવાઈ છે. સાદરા, વલાદ સામાન્ય અને સરઢવ એસસી બેઠક રહેશે. કલોલ તાલુકાની ભોંયણમોટી, પલીયડ, શેરીસા સામાન્ય સ્ત્રી, જ્યારે પાનસર, સાંતેજ સામાન્ય અને છત્રાલ એસસી સ્ત્રી બેઠક બની છે. માણસામાં બિલોદરા, ચરાડા, મહુડી સ્ત્રી અનામત અને લોદરા, સમૌ, સોજા સામાન્ય રહેશે. દહેગામમાં રખિયાલ એસટી બેઠક છે, જ્યારે અન્ય બેઠકો ઓબીસી અને સામાન્ય વર્ગમાં વહેંચાઈ છે. કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક બીજી બેઠક સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય રહેશે.
કોમી એકતાની અનોખી મિસાલ:વઢવાણમાં 26 વર્ષથી ચા પીવડાવી મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવતા હિન્દુ યુવાન
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી કોમી એખલાસનું એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક હિન્દુ યુવાન છેલ્લા 26 વર્ષથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવવા માટે ચાની સેવા આપી રહ્યો છે. વઢવાણ શહેરમાં કોમી એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા લગભગ 26 વર્ષથી એક હિંદુ યુવાન રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો માટે ચા પીવડાવવાની સેવા કરી રહ્યો છે. રમઝાન દરમિયાન નમાઝ બાદ રોજા ખોલવા આવતા મુસ્લિમ ભાઈઓને આ યુવાન પોતાની તરફથી ચા પીવડાવી માનવતાનું અનોખું ઉદાહરણ મનોજ ભાઈ પરમાર પૂરું પાડે છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સેવા મનોજભાઈ પરમાર 26 વર્ષોથી સતત ચાલી રહી છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાજના લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો વધે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યને કારણે વઢવાણ શહેરમાં ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ સેવાકાર્ય વિશે ઇમરાનભાઇ, રમઝાનભાઇ, હનીફભાઇ સહિત લોકો કહે છે કે આજના સમયમાં જ્યારે સમાજમાં નાના મુદ્દાઓને લઈને મતભેદ ઊભા થાય છે ત્યારે આવી પહેલ માનવતાની સાચી ઓળખ આપે છે.
મંડે પોઝિટીવ:ઝાલાવાડની જમીનનો હેલ્થ રિપોર્ટ આ વર્ષે સર્વાધિક 20,230 કાર્ડ ઇશ્યૂ
ઝાલાવાડમાં આ વર્ષે 578 ગામમાંથી 20,230 સ્થળેથી માટીના નમુના એકત્ર કરી રિપોર્ટના આધારે હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા છે. આ આંકડામાં ગત વર્ષ કરતાં 8 હજારનો વધારો થયો છે. જમીનમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ફળદ્વુપતાને અસર થઇ રહી છે. તેવામાં જિલ્લાના ખેડૂતોને પોતાની જમીનના પોષક તત્વો અંગે જાણકારી મળી રહે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય તે હેતુથી જમીન ચકાસણી માટેના નમુના લેવાયા હતા. જમીન ચકાસણી પ્રયોગ શાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાએ જણાવ્યું કે જિલ્લાના દરેક ગામોના સેમ્પલ લેવાયા હતા, જેમાં ખેતરમાં ૧૫ સેમી ખાડો કરી જમીનનું તળ કાઢી નમૂના લેવાય છે. જેના હેલ્થ કાર્ડ આવતા ૨૦,૨૩૦ સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યુ કરી ૧૦૦% કામગીરી કરાઈ રહી છે. તાલુકાવાર નમૂનાઓનું પરીક્ષણ: દસાડા તાલુકો ૩૧૧૫ નમૂનાઓના પરીક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે. હેલ્થકાર્ડ એટલે જમીનનો એક્સરે, સિટી સ્કેનહેલ્થ કાર્ડમાં જમીનમાં 15 સેમીનો ખાડો કરી જમીનમાં ઉપલબ્ધ 12 પોષકતત્વો, ગૌણતત્વો અને સુક્ષ્મ તત્વોના પ્રમાણનો ખ્યાલ આવે છે. જમીન વિદ્યુત વાહકતા અને પીએચ હાઇડ્રોજન આયનની સાંદ્રતા, અગાઉ કયો પાક લીધો સેન્દ્રીય, રાસાયણીક ખાતરો, કેટલાસુક્ષ્મ તત્વો આપવા તેની ભલામણો દર્શાવી હોય છે. જેનાથી ખાતરનો બિનજરૂરી ઉપયોગ અટકે, પાકઉત્પાદન ખર્ચ ઘટે પોષક તત્વોના સમતોલ ઉપયોગથી ટકાઉ ખેતી થાય છે. ખાતર વપરાશમાં 8થી 10 ટકાનો ઘટાડોઅમો જીરૂ, કપાસ, ઘઉં સહિત પાકોનુ વાવેતર કરીએ છીએ સોઇલ હેલ્થ કાર્ડ કઢાવવાથી આધારે સંતુલિત ખાતર વ્યવસ્થાપન કરવાથી ઉત્પાદનમાં ફેરફાર આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે પાક ઉત્પાદનમાં અંદાજે 10થી 20% સુધીનો વધારો થઈ શકે છે. ખાતરના વપરાશમાં ઘટાડો થવાથી ખેતીના કુલ ખર્ચમાં 8% થી 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. > રાજભા ઝાલા, વઢવાણ
સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂ.4.84,600ની ચોરી થતાં સિટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. સોસાયટીના સીસીટીવીમાં 4 શખસો કેદ થયા છે. પોલીસે ડોગસ્કવોડ, એફએસએલની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના અને હાલ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ, ઉમિયા ટાઉનશીપ-1, શેરી નં.6/બીમાં રહેતા તેમજ કન્ટ્રકશનનું કામ કરતા 29 વર્ષના ભરતભાઈ કરશનભાઇ પરમારે સિટી બીડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે, 4 અજાણ્યા શખસો ભેગા મળી મારા બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટ તથા પેટી પલંગમાં રહેલા કુલ રોકડ રૂ. 2,10,000, સોનાના દાગીના કિંમત રૂ. 1,80,000 વજન અંદાજે 36.64, તથા ચાંદીના દાગીના રૂ. 26,600ની કિંમતના વજન અંદાજે 492 ગ્રામની ચોરી કરી હતી. આ ઉપરાંત તેમની શેરીમાં રહેતા વાલજીભાઈના ઘરેથી રૂ. 40,000ની કિંમતનું બાઇક તેમજ શિલ્પાબેનના મકાનમાંથી રોકડા રૂ. 25,000 સહિત કુલ રૂ.4,84,600ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. બનાવમાં 4 અજાણ્યા શખસ, તપાસમાં ખૂલે તે તમામ સામે ગુનો નોંધી PSI એમ.એચ. પઠાણ તપાસ ચલાવે છે. બનાવના મૂળ સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, ફિન્ગર પ્રિન્ટ સહિતની તપાસનો પોલીસ ઘટના બની તે શેરીથી પાછળની શેરી સુધી અડધે ગયુ હોવાની પ્રાથમિક વિગતો મળી છે. પોલીસ પેટ્રોલીંગના કલાક બાદ તસ્કરો ઘૂસ્યા સુરેન્દ્રનગરમાં પેટ્રોલિંગ રાત્રિના સમયે નિમયિત હોય છે. મકાન માલિકના ભાઇ રાત્રે સવા એક વાગ્યાના સમયે ઘર આવતાં પેટ્રોલીંગની કાર મળી હતી. જ્યારે રાત્રિના 2 વાગે સીસીટીવીમાં 4 શખસો સોસાયટીમાં ફરતા દેખાય છે. બીજુ કે 3 કિમી દૂર બી-ડિવિઝન પોલીસ મથક પણ આવેલું છે. દીકરાનો જન્મ થતાં વતન રહેવા ગયા હતા મારા પત્નીને 18 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો હતો. અહીં સુરેન્દ્રનગર ખાતે તેની કોઇ દેખરેખ વાળુ ન હોય મારી પત્ની વતન વાડલા ગામે હતા. હુ રોજ મારા કામ ધંધા માટે સુરેન્દ્રનગર આવતો અને સાંજે વાડલા જતો રહેતો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે. > ભરતભાઈ કરશનભાઇ પરમાર, ભોગ બનનાર
ગામ ગામની વાત:ગંદા પાણીનું ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધિકરણ કરતું ગામ એટલે નવલપુર
તલોદના નવલપુર ગામની લોકભાગીદારીથી ગામની કાયાપલટ કરી દેવાઈ છે. સરપંચ, પંચાયત અને ગામલોકો મળીને સરકારની વિવિધ યોજનાઓને લોકભાગીદારીથી ગામમાં અમલમાં મૂકી વોટર કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, સ્વચ્છતા, ઓ.ડી.એફ. ગ્રીન રેવોલ્યુશન, વેસ્ટ મેનેજમેન્ટ, સી.એસ.સી. વગેરે કાર્ય ઉપર સફળતાપૂર્વક કામ કર્યું છે. લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી ગટરના તમામ પાણીને ગ્રેવીટી બેઝડ ગ્રેવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરી રિચાર્જ અને રિયુઝ કરાય છે. આ પ્લાન્ટમાં કોઈ વીજળીનો વપરાશ થતો નથી જેને દેશનો પ્રથમ મોડેલ પ્લાન્ટ છે. કામની દેખરેખ અને તેના નિભાવ અને વ્યવસ્થાપન માટે વિલેજ મેનેજમેન્ટ કમિટિઓ બનાવાઈ છે. જેમાં એક કન્વીનર અને ચાર સભ્યો છે. આ કમિટિઓમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામમાં 150 જેટલા મકાન આવેલા છે. આ ગામમાં 90 ટકા જેટલા મકાનમાં સરકારની રૂફટોપ યોજનાનો લાભ લઇને સોલાર પેનલ લગાવાઇ છે. એકંદરે 100 ટકા સોલાર એનર્જીનો ઉપયોગ કરતું ગામ બની ગયું છે.ગામની અંદર 100 ટકા ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરાઇ છે. આ ગંદા પાણીને રિસાયકલ કરીને તેમાંથી ખાતર બનાવવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યો છે. ગામમાં નળ સે જળની યોજના થકી દરેક ઘરમાં નળ લગાવાયા છે. ગામમાં સરદાર પટેલ જળ સંચય યોજના અંતર્ગત 10 થી વધારે ચેકડેમ બનાવાય છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટથી હાલમાં ગામમાં રોજનું 200 કેએલબી ગંદુ પાણી શુદ્ધ કરાય છે. ગામના તળાવમાં વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરીને તેની આસપાસ વોકવે, તળાવની વચ્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ, તળાવમાં લાઇટીંગ અને સ્ટેજ બનાવી વેડીંગ ડેસ્ટીનેશન ઉભુ કરાયું છે. સાથે સાથે તળાવમાં બોટીંગ પણ શરૂ કરાયું છે. તળાવના કિનારે ડિઝિટલ લાઈબ્રેરી બનાવાઇ રહી છે. ગામમાં દરેક ઘરે ડસ્ટબિનની ફાળવણી કરાઇતમામ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવી ગામને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયું છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેક ઘરે ડસ્ટબિન ફાળવાઇ છે. ડોર ટુ ડોર કલેક્શન માટે ઈ-રિક્ષા દ્વારા કચરાનું કલેક્શન કરાય છે અને સેગ્રીગેશન રોડ સુધી પહોંચાડાય છે. ગામની વિગત
આશીયાના સોસાયટીમાં એસઓજી ટીમના દરોડા:મોડાસા શહેરમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતો શખ્સ ઝડપાયો
મોડાસામાં ડુઘરવાડા રોડ પર આવેલ સોસાયટીમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતાં શખ્સને એસઓજીએ પકડી 8400ની મત્તા જપ્ત કરી હતી. ડુઘરવાડા રોડ પર આવેલી આશીયાના સોસાયટીમાં SOGએ બાતમી આધારે દરોડો પાડી સાબીરહુસેન મુસાભાઇ સુથાર નામનો શખ્સ કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલીંગ કરતાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન ગેસની 2 બોટલો અને ગેસ ટ્રાન્સફર કરવાની 1 મોટર સહિત 8,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી પાસે ગેસ રિફિલીંગનો કોઈ પરવાનો ન હોવાથી તેની વિરુદ્ધ BNS 2023 ની કલમ 287, 288 અને 125 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે 2 દિવસમાં એસઓજીએ આ પ્રકારનો કેસ કર્યો છે.
હિંમતનગરમાં નેશનલ લોક અદાલત અંતર્ગત માનવીય સંવેદના અને કાયદાકીય કુશળતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. છેલ્લા 12 વર્ષથી અલગ રહેતા અને અનેક કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા દંપતીએ કાનૂની સેવા સત્તા મંડળની મધ્યસ્થીથી પોતાના જૂના મતભેદો ભૂલી ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ દંપતી વર્ષ 2003માં લગ્નગ્રંથિથી જોડાયું હતું અને 2013માં તેમને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જોકે, વૈચારિક મતભેદોને કારણે વર્ષ 2014થી તેઓ અલગ રહેતા હતા. આ 12 વર્ષ દરમિયાન તેમની વચ્ચે ભરણપોષણ, ઘરેલું હિંસા, ફોજદારી કેસ (IPC 498A), છૂટાછેડા અને બાળકની કસ્ટડી જેવા જટિલ વિવાદો કોર્ટમાં ચાલી રહ્યા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે. આર. રબારીએ છૂટાછેડાની અપીલ દરમિયાન અવલોકન કર્યું કે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારનું પુનઃમિલન અનિવાર્ય છે. તેમણે આ કેસને મેડિયેશન ડ્રાઈવ હેઠળ રિફર કર્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી સી.પી. ચારણ અને સહ-મધ્યસ્થી એમ.આર.પઠાણ દ્વારા પર્સનલ કાઉન્સેલિંગ અને સંયુક્ત બેઠકો કરી હતી. સાથે સાથે બંને પક્ષના વકીલોએ પણ સમાધાન માટે હકારાત્મક ભૂમિકા ભજવી હતી. લાંબી સમજાવટ બાદ દંપતીએ તમામ કેસો પાછા ખેંચી સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. પ્રોત્સાહન રૂપે ન્યાયાધીશ દ્વારા પત્નીને શગુનનું કવર અને પતિને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપી આશીર્વાદ પાઠવાયા હતા.
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હાથમતી નદી કિનારે આવેલ જર્જરિત સ્મશાનની 50 લાખના ખર્ચે કાયાપલટ થવા જઇ રહી છે. સ્મશાનમાં નવી સગડીઓ સહિત ગેસ અથવા ઇલેક્ટ્રિક ચેમ્બરની સુવિધા ઉભી કરાશે. ભોલેશ્વર મહાદેવ મંદિર નજીક હાથમતી નદી કિનારે આવેલ સ્મશાન જર્જરિત સ્થિતિમાં છે. કમ્પાઉન્ડ વોલ કે અન્ય સુવિધાઓનો અભાવ છે. તા. 1-10-24ના પત્રથી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આયોજન અધિકારીને સ્મશાન ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા 3 લાખ વિકાસ ગ્રાન્ટ 1 ફાળવ્યાની જાણ કરી હતી. દરમિયાનમાં શહેરના આજુબાજુના વિસ્તારોનો પાલિકામાં સમાવેશ થવાને લઇ પાલિકા દ્વારા ભોલેશ્વરના જર્જરિત સ્મશાનને અપગ્રેડ કરવા નિર્ણય લેવાયો હતો. પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે ભોલેશ્વરના સ્મશાનને સુવિધા સજજ કરવા તાજેતરની સામાન્ય સભામાં ચર્ચા કરી નિર્ણય લેવાયો છે. સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ, નવું ઇન્ફ્રાસ્ટ્રકચર સગડીઓ સહિત ઉભુ કરાશે. ગેસ અથવા ઇલેક્ટ્રિક ચેમ્બર બંને માંથી એક માટે વિચારાઇ રહ્યું છે. તેને આનુસંગિક પ્રક્રિયા હાથ ધરાઇ છે. અંદાજે 50 લાખના ખર્ચે સ્મશાન સુધી પહોંચવાના રસ્તા સહિત નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા તજવીજ હાથ ધરાઇ છે. સ્થાનિક કુમારભાઇ ભાટે જણાવ્યું કે લાંબા સમયથી આ સ્મશાનને અપગ્રેડ કરવા માંગ થઇ રહી હતી. પાલિકા દ્વારા ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે.
ચોરીનો મામલો આવ્યો સામે:સરકારી બોરનો 25 મીટર કેબલ ચોરાયો
પાલનપુર તાલુકાના મોટા ગામે સરકારી પાણીના બોર પરથી ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરી થવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. શખ્સોએ રાત્રે બોરથી ઓરડી સુધીનો આશરે 25 મીટર વાયર કાપીને લઈ જતા પાણી પુરવઠા પર અસર પડી છે.નોંધનીય છે કે એક અઠવાડિયામાં આવી બીજી ઘટના બનતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. પાલનપુર તાલુકાના મોટા ગામે સરસ્વતી સ્કૂલની બાજુમાં આવેલા સરકારી બોરના બોર ઓપરેટર કરણસિંહ પ્રતાપસિંહ પરમારે શનિવારની સાંજે 7 વાગ્યાની આસપાસ બોર બંદ કરીને ઘરે ગયા બાદ રવિવારની સવારે 7 વાગ્યા ફરજ પર આવીને જોતા પાણીના બોરથી ઇલેક્ટ્રિક ઓરડી સુધીનો આશરે 25 મીટર લાંબો 25 એમ.એમ.નો રૂ.20 હજારનો કેબલ વાયર જોવા મળ્યો ન હતો. જેથી બોર ઓપરેટરે મોટા ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિંહ ભુપતસિંહ રાજપુતને જાણ કરતા તેઓ અમરસિંહ તખતસિંહ પરમાર અને રણજિતસિંહ તખતસિંહ પરમાર સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા બોરથી ઓરડી સુધીનો આખો કેબલ વાયર ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સરપંચ ભરતસિંહ ભુપતસિંહ રાજપૂતે રવિવારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગામ ગામની વાત:નાળાસરમાં ધરોઆઠમે મહિલાઓ ઘાસ કાપતી નથી
પાલનપુર તાલુકાના નાળાસર ગામમાં ધરો આઠમના પર્વે શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે. પેઢીઓ જૂની પરંપરાને વળગી રહીને આજે પણ ગામની મહિલાઓ ઘાસ કાપતી નથી. આ પવિત્ર દિવસે ખેતરમાં જઈને ઘાસ કાપવાની તમામ જવાબદારી માત્ર પુરુષો જ નિભાવે છે. આ અનોખા રિવાજ સાથે ગ્રામજનોએ નજીકના વાસડા ગામે બિરાજમાન ધારમાતાના મંદિરે પલ્લી ભરીને ધન્યતા અનુભવે છે. પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ધરો આઠમના દિવસે મહિલાઓ માટે એક ખાસ નિયમ પાળવામાં આવે છે. પરંપરા મુજબ, આ દિવસે મહિલાઓ લોખંડનું દાતરડું પકડીને ઘાસ કાપી શકતી નથી. પશુઓ માટે ચારાની વ્યવસ્થા માત્ર પુરુષો જ કરે છે. ગ્રામજનો માને છે કે આ પરંપરા જાળવવાથી ગામ પર કોઈ આફત આવતી નથી અને પશુધન સુરક્ષિત રહે છે. ધરો આઠમના દિવસે નળાસરના ગ્રામજનો મોટી સંખ્યામાં પાડોશી ગામ વાસડા સ્થિત ધારમાતાના મંદિરે પહોંચે છે. અહીં પરંપરાગત રીતે માતાજીની પલ્લી ભરવામાં આવે છે . માતાજીના ચરણે શીશ ઝુકાવી ગ્રામજનોએ સુખ-શાંતિની પ્રાર્થના કરે છે. મંદિરે પલ્લી ભર્યા બાદ ધારમાતાને શુદ્ધ ઘીમાંથી બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના અગ્રણી પ્રતાપજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા બાપ-દાદાના વખતથી આ રિવાજ છે. મહિલાઓ ઘાસ ન કાપે અને ધારમાતાની પલ્લી ભરાય, આ આસ્થા જ અમારા ગામને એક તાંતણે બાંધી રાખે છે.
ઓરીનો કેસ મળી આવ્યો:ભીલડીમાં શંકાસ્પદ ઓરીનો કેસ નોંધાયો
ભીલડી પંથકમાં અત્યારે નાના બાળકોમાં શંકાસ્પદ ઓરી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડક જેવી બેવડી ઋતુના કારણે બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. ઘણા ગામોમાં ઘેરઘેર બાળકો બીમારીના ખાટલા પર હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળતાં માતા-પિતામાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકો આરોગ્ય વિભાગને તાત્કાલિક સર્વે કરવા અને તબીબી ટીમ મોકલી જરૂરી સારવાર અને રસીકરણની માંગ કરી રહ્યા છે, જેથી વાયરસનો ફેલાવો અટકાવી શકાય.
ગેસ પુરવઠો ખોરવાયો:પાલનપુર હાઈવેની ગેસલાઇન તૂટી જતાં 25 સોસાયટીમાં ત્રણ કલાક ગેસ ન મળ્યો
પાલનપુર-આબુરોડ હાઈવે પર આવેલી લીલી વાડી નજીક રવિવારે ગેસ લાઇન તોડવામાં આવતા શહેરની અંદાજે 25થી વધુ સોસાયટીઓમાં 2 કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરમિયાન કંપની દ્વારા તાત્કાલિક સમારકામ કરી ગેસ પુરવઠો પુર્વવત કરાયો હતો. ગેસ લાઇન તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.તેમ સુત્રોએ જણાવ્યું હતુ. એક તરફ ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસ સિલિન્ડરની અછત અને ભાવવધારાની સમસ્યા તોળાઈ રહી છે. ત્યારે પાલનપુરમાં રવિવારે બપોરના સુમારે આબુ હાઇવે ઉપર લીલીવાડી હોટલ નજીક ખાડો ખોદતી વખતે ગેસ લાઈન તૂટી ગઈ હતી. તેનાથી આજુબાજુની 25 સોસાયટીઓમાં બે કલાક માટે ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેનાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઘટનાની જાણ થતા જ આર.એમ.આઈ કંપનીની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઇન લીકેજ હોવાને કારણે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પુરવઠો બંધ કરી દેવાયો હતો. કંપની દ્વારા ભારે જહેમત બાદ લાઇનનું સમારકામ પૂર્ણ કરી ગેસ સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યો હતો.આથી લોકોએ રાહતનો દોમ ખાધો હતો. આ અંગે કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, લાઇન કયા કારણોસર અને કોના દ્વારા તોડવામાં આવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ કે એજન્સી આ નુકસાન માટે જવાબદાર હશે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. 1,423.4 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – 1 ના 17 અને ફેઝ –2 ના 12 કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ગત એપ્રિલ-2025માં ફેઝ-1ના કુલ રૂ. 139.42 કરોડના કામોને મંજૂરી અપાઇ હતી, જે કામો પ્રગતિ હેઠળ છે. ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- 2025માં રૂ. 1184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડ એમ કુલ અંદાજીત રૂ. 1534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે તથા ચોમાસાના સમય સિવાય સિંચાઇના પાણીની મુશ્કેલી ઉભી થાય છે.ઘેડમાં ભરાતા પાણીની સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદરના સંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા તેમજ કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્રણ ફેઝમાં કામગીરી થશે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ 1, 2 અને 3 માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- 1ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૫ના રોજ કુલ અંદાજીત રકમ રૂ. 139.42 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે. બીજા ફેઝમાં કયાં-કયાં પ્રકારની કામગીરી કરાશેફેઝ-2માં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનર્જીવિત કરવા, નદી પરના નાના,સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા હયાત સ્ટ્રકચરો જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે. હાલ કેટલું કામ થયું છે હાલની સ્થિતિએ ફેઝ-1 ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-3 કામ, પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ અને બરડા ઘેડ વિસ્તારમાં કૂલ-7 કામ મળીને કૂલ-17 કામો જેમાં નદી,વોંકળા,કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે.
હાશકારો:આંગણવાડી અને મધ્યાનભોજન સંચાલકો પાસે પૂરતા ગેસના સિલિન્ડર
ર પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડર અછત જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં આવેલ આંગણવાડી અને મધ્યાનભોજન સંચાલકો પાસે પૂરતા ગેસના સિલિન્ડર હોવાથી બાળકોને પૂરતો નાસ્તો મળી રહ્યો છે. જિલ્લાની આંગણવાડીમાં ઘરેલુ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી અછત ઉભી ન થઈ હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે ત્યારે ગેસના સિલિન્ડરની અછતને લઈને શહેરમાં હાલ અનેક ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાના વેપાર બંધ કરવાની ફરજ પડી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં ગેસના સિલિન્ડરની અછતને લઈને અમૂક પરિવારને પણ ગેસના સિલિન્ડર મળતા નથી જેને લઈને હાલ સિલિન્ડર લેવા એજન્સી ખાતે દોડાદોડી જોવા મળી થઈ છે. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં આવેલ 400 જેટલી આંગણવાડી અને સ્કૂલમાં આવેલ મધ્યાન ભોજન સેન્ટરોમાં હાલ પણ પૂરતા ગેસના સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી બાળકોને પૂરતો નાસ્તો મળી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર અને મધ્યાન ભોજન સેન્ટરમાં ઘરેલુ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ ન હતી.
ગામ ગામની વાત:પોરબંદરના રાજપર નવાગામ ખાતે ક્રાઇમ રેટ ઝીરો
પોરબંદર તાલુકાનું રાજપર નવાગામ રળિયામણું ગામ છે. ગામનો મત વિસ્તાર કુતિયાણા છે. સરકારી ચોપડે ગામનું નામ રાજપર છે પરંતુ આ ગામને નવાગામ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામમાં ક્રાઇમ રેટ ઝીરો છે. સરપંચ હરદાસભાઇ કાનાભાઈ આગઠના જણાવ્યા મુજબ ગામમાં આ વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. રાજપર ગામ હાઇવેથી 1 કિમી અંદર આવેલ છે. ગામમાં વિસત માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર અતિ પૌરાણિક છે અને આગઠ તથા બાપોદરા મહેર સમાજના કુળદેવી વિસત માતાજી છે જેથી જિલ્લા અને બહાર ગામથી આગઠ પરિવારના લોકો વિસત માતાના મંદિરે રાજપર ગામે આવે છે અને શુભ પ્રસંગનું આયોજન પણ થાય છે. મોટો હવન પણ કરવામાં આવે છે. આ ગામના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગામના લોકો હળીમળીને રહે છે અને સુખે દુઃખે સહકાર આપે છે તેમજ દરેક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ગામમાં શું સુવિધા છે ? રાજપર નવાગામમાં રોડ રસ્તા સારા છે. સીસી રોડ અને ગલીઓ પેવર બ્લોકથી મઢવામાં આવી છે. ગામમાં કોમ્યુનિટી હોલ છે તેમજ નર્મદાનું પાણી પૂરતું આવે છે. પીવાના પાણીની પૂરતી સુવિધા છે, ગામમાં સ્ટ્રીટલાઇટો છે, આંગણવાડી આવેલ છે અને સ્કૂલ પણ છે તેમજ સ્કૂલમાં નવા નવ ઓરડા બનાવવાની મંજૂરી મળી છે. ગામનો વધુ વિકાસ થાય તેવા પ્રયાસ ચાલુ છે. - હરદાસભાઇ કાનાભાઈ આગઠ, સરપંચ, રાજપર ગામ
ફરિયાદ:સામાન રાખવા બાબતે સામસામી મારામારી, 2 સભ્યો ઈજાગ્રસ્ત
પોરબંદર કુતિયાણા ખાતે સામાન રાખવા બાબતે બે પક્ષો વચ્ચે સામસામી મારામારી સર્જાઈ હતી.આ મારામારીમાં બંને પક્ષે એક એક સભ્યને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની મળતી વિગતો મુજબ કુતિયાણા ખાતે રહેતા ડોડીયા ભીમાભાઈ આલાભાઈ નામના આધેડના ઘરે દિનેશ હમીર ચુડાસમાએ સામાન રાખ્યો હતો જે બાબતે બોલાચાલી થયા બાદ આધેડ ઉપર જગા ચુડાસમા તથા કેતન ચુડાસમાએ હુમલો કર્યો હતો.તો સમાપક્ષે પણ પણ ચુડાસમા દિનેશ હમીર ઉપર ભીમા આલા નામનો શખ્સ કુહાડી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં બંને પક્ષે ઈજાગ્રસ્ત બનેલ એક એક સભ્યને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના બાદ પોલીસે બંને પક્ષે ઈજાગ્રસ્ત સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને કુતિયાણા શહેરમાં પણ ચર્ચા જાગી હતી.
કાર્યવાહી:હથિયારો સાથે ફોટો પડાવવાનો શોખ પૂરો કરવા ઘરઘાટીએ પિસ્ટલ ચોરી હતી
વસ્ત્રાપુરની ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીપી ગુરુદયાલસિંગના દીકરાની લાઈસન્સવાળી પિસ્ટલ અને 10 કારતૂસની ચોરી થઈ હતી. તેમને ઘરઘાટી ઉપર શંકા હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે ઘરઘાટીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્ટલ અને કારતૂસ કબજે કર્યા હતા. ઘટઘાટીને હથિયાર સાથે ફોટો પડાવવાનો શોખ હોવાથી તે હોળી વખતે વતન ગયો ત્યારે પિસ્ટલ અને કારતૂસ ચોરીને સાથે લઈ ગયો હતો. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદીપસિંગ સિંગ (49) ગૌશાળા રાખીને દૂધ અને ઘીનો વેપાર કરે છે. તેમના પિતા ગુરુદયાલસિંગ નિવૃત્ત ડીજીપી હતા અને તેમનું 2021માં અવસાન થયું હતું. તેમનાં માતા મંજીતકૌરનું 2023માં અવસાન થયું હતું. અમનદીપસિંગે 2004માં માતાના નામે હથિયારનું લાઇસન્સ લીધું હતું અને કોલ્ટ પૉઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી. જોકે માતાના અવસાન બાદ હથિયાર જમા કરાવવાનું હોવાથી અમનદીપસિંગે કબાટમાં તપાસ કરી તો પિસ્ટલ, 10 કારતૂસ તેમજ કવરની ચોરી થઈ હતી. જો કે તેમના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે બહેનને નોકરી રાખ્યા હતા. પરંતુ તેમણે નોકરી છોડી દેતા 2 મહિના પહેલા ઘરઘાટી તરીકે મહિપાલસિંગ અર્જુનસિંગ સિસોદિયા (22)(ગોહાવાડા, ખેરવાડા, ઉદેપુર, રાજસ્થાન)ને નોકરી રાખ્યો હતો. અમનદિપસિંગે મહિપાલસિંગને પૂછતાં તે હથિયાર વિશે કશું જાણતો નહીં હોવાનું રટણ કરી રહ્યો હતો. આથી અમનદીપસિંગે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ ગીતાબહેન ચૌધરીએ મહિપાલસિંગની ધરપકડ કરીને પિસ્ટલ અને 10 કારતૂસ કબજે કર્યા હતા.
ધરપકડ:વેપારીના 25 ગ્રામ સોનાના સિક્કા પડાવનારા 3 પકડાયા
રેલ્વેના ટેન્ડર અપાવવાના બહાને પશ્ચિમ બંગાળના એક વેપારી પાસેથી 25 ગ્રામ સોનાના સિક્કા પડાવી લઈ ગયેલા 3 ગઠીયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીઓએ મીટીંગ કરવાના બહાને વેપારીને શાહીબાગ સરકીટ હાઉસમાં બોલાવ્યા હતા. જ્યાં રેલ્વેના અધિકારી તરીકે ઓળખાણ આપીને ટેન્ડર લેવા માટે તેમને ગીફટમાં આપવા માટે સોનાના સિક્કા પડાવ્યા હતા. પકડાયેલા 3 આરોપીમાં 1 રેલ્વેના કર્મચારીનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના એક વેપારીને રેલ્વેના ટેન્ડર અપાવવાના બહાને અમદાવાદના ગઠીયાઓની ટોળકીએ બોલાવ્યા હતા. ત્યારબાદ રેલ્વેના અધિકારી તરીકે ઓળખાણ આપી શાહીબાગ સરકીટ હાઉસમાં મીટીંગ કરી હતી. જ્યાં રેલ્વેના અધિકારીઓને ટેન્ડર માટે ગીફટમાં આપવા માટે 25 ગ્રામ સોનાના 2 સિક્કા પડાવી લીધા હતા. આ અંગે વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેજસ ચંદ્રકાંત મહેતા, કૌશિક પ્રહલાદભાઈ લાખાણી અને જીતુભાઈ અરવિંદભાઈ પટેલ ની ધરપકડ કરી હતી. ત્રણ માંથી તેજસ રેલ્વેમાં નોકરી કરતો હોવાનું પોલીસનું કહેવુ છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:માતા-પિતાની જેમ સાસુ-સસરાને 10 વર્ષથી સાચવતા 21 જમાઈનું 1 એપ્રિલે સન્માન થશે
પરિવાર માત્ર લોહીના સંબંધથી નહીં પણ સ્નેહ, સંસ્કાર અને જવાબદારીથી મજબૂત બને છે. સાસરીમાં દીકરા સમાન ગણાનાર જમાઇ એ પરિવારમાં એકતા અને સંવાદિતાને મજબૂત બનાવે છે. અમદાવાદમાં આવી જ લાગણી અને સંસ્કારને ઉજાગર કરતી અનોખી પહેલ હાથ ધરાઇ છે. શહેરની બે સામાજિક સંસ્થા ગોપાલ મહેક ટ્રસ્ટ અને પર્વ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી વાર સાસુ-સસરાને માતા-પિતાની જેમ સાચવીને સેવા કરનારા જમાઈઓને શોધીને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલ હેઠળ 10 વર્ષથી સાસુ-સસરાની જવાબદારી સ્વીકારનારા વિવિધ સમાજના જમાઈઓની શોધ કરાઈ રહી છે. સંસ્થા દ્વારા જાહેર અપીલ બાદ અનેક પ્રેરણાદાયી કિસ્સા સામે આવ્યા, જેમાંથી 21 જમાઈની પસંદગી કરાઈ છે. 1 એપ્રિલે જાહેર મંચ પર આ તમામ જમાઈનું સન્માન કરાશે. સંસ્થાનું માનવું છે કે આવાં ઉદાહરણને સમાજ સમક્ષ લાવવાથી પરિવાર પ્રત્યેની જવાબદારી અને સંસ્કારનો સકારાત્મક સંદેશ ફેલાશે. સામાન્ય રીતે જમાઈને પરિવારનો મહેમાન માનવામાં આવે છે, પરંતુ ઘણા જમાઈ એવા પણ છે, જે વર્ષોથી પોતાનાં સાસુ-સસરાને દીકરા સમાન સહારો આપે છે. આ પ્રકારની લાગણી અને જવાબદારીને સમાજ સમક્ષ માન આપવા આ પહેલ શરૂ કરાઈ છે. આવો વિચાર કેવી રીતે આવ્યો?સંસ્થાના સભ્યોના કહેવા પ્રમાણે એક દિવસ એક યુવાન વિદેશ જવા માટે મળવા આવ્યો હતો. વાતચીત દરમિયાન તેનાં માતા-પિતાની સંભાળ વિશે પૂછતાં તેણે કહ્યું કે હવે તેમની જવાબદારી મારી બહેન-બનેવી લેશે. આ વાતથી એવી પ્રેરણા મળી કે સમાજમાં એવા અનેક જમાઈ હશે જે પોતાનાં સાસુ-સસરાને પોતાનાં માતા-પિતાની જેમ સાચવે છે. ત્યાર બાદ બંને સંસ્થાએ જાહેર અપીલ કરી આવા જમાઈઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.
શિક્ષણ:દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે
દેશની Indian Institutes of Science Education and Research (IISER) 7 સંસ્થામાં પ્રવેશ માટેની IISER Aptitude Test (IAT)ની સત્તાવાર જાહેરાત કરાઈ છે. પરીક્ષા દ્વારા ચાર વર્ષના BS, પાંચ વર્ષના BS-MS ડ્યુઅલ ડિગ્રી અને નિર્ધારિત સંસ્થામાં B.Tech કાર્યક્રમોમાં પ્રવેશ અપાશે. કમ્પ્યુટર આધારિત (CBT) પરીક્ષામાં 60 પ્રશ્નો હશે, જેમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સમાંથી 15 પ્રશ્નો પૂછાશે. પરીક્ષા ત્રણ કલાકની રહેશે. વૈજ્ઞાનિક કે કોલેજમાં અધ્યાપકની જોબ મેળવી શકાય‘IISER (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટસ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ) પૂણે, કોલકાતા, મોહાલી, ભોપાલ, ત્રિવેન્દ્રમ, તિરુપતિ, બરહામપુરમાં ઉપલબ્ધ છે. જે બેઝિક સાયન્સમાં રિસર્ચર કે વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રે કેરિયર ઘડવા માગતા હો, તો આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. IISER (ભારતીય વિજ્ઞાન શિક્ષા તથા અનુસંધાન સંસ્થાન) ભારતનું પ્રમુખ સંસ્થાન છે, જેમાં અભ્યાસ સાથે શોધ-સંશોધન પર ભાર મૂકાય છે. અહીંની ડિગ્રી મેળવ્યા પછી સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિકની કે કોલેજમાં અધ્યાપકની જોબ મળી શકે છે -ડો.એસ કે વિજય, નેશનલ કોમ્પેટેટિવ એક્ઝામ કોચિંગ એક્સપર્ટ કયા સંસ્થામાં કયા કોર્સમાં પ્રવેશ અપાશે ! ઓરિસ્સાના બરહમપુર દ્વારા આ પરીક્ષા લેવાશેઆઈએટી-2026 7 જૂન, 2026ના રોજ આઈઆઈએસએઈ, ઓરિસ્સાના બરહમપુર દ્વારા લેવાનાર છે. જેની Official Website: iiseradmission.in છે. જેનું એડમિટ કાર્ડ 24 મે, 2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ કાર્યક્રમની તારીખ
મંડે પોઝિટીવ:ભોજનની થાળી પર લખેલા સ્પેલિંગ વાંચીને બાળકો રમતાં-જમતાં અંગ્રેજી શીખે છે
શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયી બનાવવાના હેતુથી જોટાણા તાલુકાની મોદીપુરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ રમતાં જમતાં અંગ્રેજી શીખો' ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષિકા આશાબેન સથવારાએ બાળકોમાં અંગ્રેજીનો ડર ભગાડવા માટે મધ્યાહન ભોજનની થાળીને જ શિક્ષણનું માધ્યમ બનાવી દીધું છે. શિક્ષિકાએ જ્યારે ધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકન કર્યું, ત્યારે શિક્ષણ સ્તર અંગે કેટલાક ચિંતાજનક તારણો સામે આવ્યા હતા. 70% બાળકો એવા હતા જેમને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. 60% વિદ્યાર્થીઓ સાદા સ્પેલિંગ વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. 80% જેટલા બાળકો અંગ્રેજીના તાસ દરમિયાન લઘુતાગ્રંથિ કે ગભરાટ અનુભવતા હતા. આ સાદા છતાં અસરકારક પ્રયોગથી માત્ર એક જ વર્ષમાં 34 વિદ્યાર્થીઓએ 300થી વધુ નવા અંગ્રેજી સ્પેલિંગ આસાનીથી શીખી લીધા છે. આ ઉપરાંત, કેરમની કૂકડીઓ ઉપર મૂળાક્ષરો લખીને અને ચુંબકીય રમતો દ્વારા પણ અંગ્રેજી શબ્દભંડોળ વધારવાના પ્રયાસો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. થાળી જ બની છાત્રોનું નવું શબ્દભંડોળરિસેસમાં બાળકોને થાળી-ચમચીથી અવાજ કરતા જોઈને શિક્ષિકાને વિચાર આવ્યો કે આ સમયને શિક્ષણમાં કેવી રીતે બદલવો. તેમણે શાળાની 76 થાળી પાછળ ઓઇલ પેઇન્ટથી અંગ્રેજી સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને ગુજરાતી અનુવાદ લખ્યા. જે માં શરીરના અંગો, શાળાની ચીજવસ્તુઓ, ઘરવખરી, રોજિંદી ઉપયોગી વસ્તુઓ અને મહિનાઓના નામ જેવા રોજિંદા વપરાશના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. 70% ને રોજિંદા વપરાશના શબ્દોય આવડતા નહોતાધોરણ 5 થી 8ના વર્ગમાં અવલોકનમાં 70% બાળકોને રોજિંદા વપરાશના 10 અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા. એટલે તેમનું શબ્દ ભંડોળ વધે અને અંગ્રેજીનો ડર દૂર થાય તે માટે રમતાં-જમતાં નવા શબ્દો શીખે તે માટે મધ્યાહન ભોજનની થાળીઓને જ શિક્ષણનું માધ્યમ બનાવ્યું. > આશાબેન સથવારા, શિક્ષિકા થાળી પર દર બે મહિને નવા સ્પેલિંગ લખાય છેમધ્યાહન ભોજન પીરસાય તે પહેલાંની 5 થી 7 મિનિટનો સમય, જે અગાઉ વ્યર્થ જતો, તેનો હવે સદુપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ એકબીજાની થાળી ફેરવીને સ્પેલિંગ વાંચતા થયા છે. ભોજન બાદ થાળી સાફ કરતી વખતે પણ તેઓ આ શબ્દોનું પુનરાવર્તન કરે છે. દર બે મહિને થાળી પર નવા સ્પેલિંગ લખવામાં આવે છે, જેથી જ્ઞાન અપડેટ થતું રહે. આવી રીતે ભોજનની થાળીની પાછળ શબ્દો લખવામાં આવે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:કોમર્શિયલ ગેસની અછતથી દેદિયાસણ GIDCમાં પ્લાસ્ટિક યુનિટ 7 દી''થી બંધ
ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના વધેલા ભાવની અસર હવે મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ દેખાવા લાગી છે. ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ તરીકે ઉપયોગમાં લેવાતા રેઝિનના ભાવમાં ભારે વધારો થતાં પીવીસી પાઇપ અને પ્લાસ્ટિક ટાંકી બનાવતા ઉદ્યોગોને સીધી અસર પહોંચી છે. બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક યુનિટોમાં છેલ્લા સાત દિવસથી ઉત્પાદન ઠપ થયું છે. મહેસાણાના સેનિટેશન સામગ્રીના વેપારી કિરણભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં ભાવમાં ભારે અસ્થિરતા હોવાથી ઓર્ડર આપતાં પહેલાં તાજા ભાવ ચકાસવા પડે છે. હોલસેલમાં પણ પીવીસી પાઇપમાં 50% ભાવ વધ્યા મોટપ સ્થિત યુનિટના ઉદ્યોગકાર સંજયભાઈ પટેલે જણાવ્યું કે, રેઝિનના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. અગાઉ રૂ.71 પ્રતિ કિલો મળતું રેઝિન હવે રૂ.110 સુધી પહોંચી ગયું છે. પરિણામે હોલસેલમાં રૂ.85 પ્રતિ કિલો મળતી પીવીસી પાઇપ રૂ.125 પહોંચી છે. અસર : હાલમાં કૃષિ સિઝન દરમિયાન ખેડુતો પાઇપલાઇન બિછાવવા માટે મોટી સંખ્યામાં પાઇપ ખરીદતા હોય છે, પરંતુ વધેલા ભાવના કારણે ઓર્ડરમાં ઘટાડો થયો છે. તેની અસર બાંધકામ અને પ્લમ્બિંગ સામગ્રીના વેપારમાં પણ જોવા મળી રહી છે. પ્લાસ્ટીકના કાચા માલની સપ્લાય ચેઇન સદંતર ઠપકોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે દેદિયાસણ GIDCના કેટલાક પ્લાસ્ટિક ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. પ્લાસ્ટિકની પાણીની ટાંકી બનાવતા યુનિટમાં 7 દિવસથી ઉત્પાદન બંધ છે. મશીનો ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા હોવા છતાં પ્લાસ્ટિક પાવડર ઓગાળવા ગેસ જરૂરી છે. અસર : દર સોમવારે રૂ.1835ના ભાવે મળતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગત સપ્તાહે મળ્યો નહોતો. ઉપરાંત પ્લાસ્ટિક પાવડરનો કાચો માલ શારજાહથી અમદાવાદ આવી પ્રોસેસિંગ થયા બાદ મહેસાણા પહોંચે છે, પરંતુ ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન પર પણ અસર પડી છે. હોટલોના મેનુમાં ફેરફાર : ચપાટી ગાયબ તંદુરી રોટી જ વિકલ્પ... કેટલીક હોટલે ચૂલા બનાવ્યાકોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે મહેસાણાની ઘણી હોટલોના મેનુમાં ફેરફાર કરાયો છે. ચપાટી-રોટી મળવી બંધ થઈ ગઈ છે. પરિણામે તંદુરી રોટીથી જ કામ ચલાવવું પડી રહ્યું છે. ઓર્ડર આપતા પહેલાં ચપાટી મળે છે કે તંદુરી રોટી, તે પૂછવું પડે છે. મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ડિસન્ટ રેસ્ટોરન્ટમાં રાત્રે ઓર્ડર આપવા જતાં વેઇટરે કહ્યું કે હાલ ચપાટી ઉપલબ્ધ નથી અને માત્ર તંદુરી રોટી જ મળશે. મેનેજરે જણાવ્યું કે, ચપાટી ગેસ પર બનતી હોવાથી સિલિન્ડરની અછતને કારણે તેને બનાવવી મુશ્કેલ બની છે. પાલાવાસણા બાયપાસ પર આવેલી રામ રતન હોટલે તો કોમર્શિયલ ગેસના વિકલ્પ તરીકે ચૂલાં પણ બનાવી લીધા છે. હોટલ સંચાલક ગાંડાલાલ પટેલે જણાવ્યું કે, હાલ ગેસ સિલિન્ડર મળવા મુશ્કેલ છે. લાકડાંની વ્યવસ્થા કરીને ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.
મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં પહોંચ્યો છે. જેને લઈને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના 'પ્રધાનમંત્રી પુરસ્કારો-2025' અંતર્ગત કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓની ટીમે જિલ્લાની ખાસ મુલાકાત લઈને પ્રોજેક્ટના અમલીકરણથી લઈને તેના પરિણામ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ટીમે જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકોની રૂબરૂ મુલાકાત પણ કરી હતી. ડીડીઓ ડૉ. હસરત જૈસ્મીને જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ૨૦૨૩-૨૪માં રૂ. ૧૦.૯૫ લાખના ખર્ચે ૧૪૭ બાળકોને, ૨૦૨૪-૨૫માં રૂ. ૩૦ લાખના ખર્ચે ૧૮૫ બાળકોને સારવાર અપાઈ હતી. ચાલુ વર્ષે રૂ. ૫૦ લાખના ખર્ચે ૨૪૮ બાળકોને પેન ઇન્સ્યુલિન અપાઈ રહ્યા છે. ઉપરાંત, દર ત્રણ મહિને મેડિકલ કેમ્પ યોજી એક જ છત નીચે તમામ નિદાન અને નિષ્ણાત તબીબોનું કન્સલ્ટેશન પૂરું પાડવામાં આવે છે. મહેસાણાની આ કામગીરીની રાજ્ય કક્ષાએ નોંધ લેવાઈ છે અને હવે સમગ્ર ગુજરાત માટે SOP તૈયાર કરવામાં આવી છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે યોજાયેલ 'મધુમેલા' કાર્યક્રમની પણ ટીમે પ્રશંસા કરી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ અત્રે સર્કિટ હાઉસમાં જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
ગામ ગામની વાત:સામાજિક એકતા વિકાસના સંગમ સમુ ગામ ઉનાવા
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ગામો પૈકીનું ઉનાવા પ્રગતિશીલ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ગામ છે. ઊંઝા તાલુકાના અંદાજે 15 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણી, ગટર લાઇન, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોને કારણે ગામનો સર્વાંગી વિકાસ થયો છે. ઉનાવાની ઓળખ માત્ર તેની મોટી વસ્તી માટે જ નહીં, પરંતુ અહીં આવેલા સુપ્રસિદ્ધ મીરાદાતાર દરગાહ માટે પણ છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. અજમેર દરગાહના દર્શન કર્યા બાદ ઘણા શ્રદ્ધાળુઓ અહીં માથું ટેકવા આવે છે. હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. દરગાહને કારણે ગામમાં ધર્મશાળા અને ગેસ્ટ હાઉસની પણ સારી વ્યવસ્થા ઉભી થઈ છે. ગામમાં ધાર્મિક સ્થળોમાં શનિદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે, જ્યાં ખાસ કરીને શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ધાર્મિક આસ્થા સાથે ગામમાં સામાજિક સુમેળ પણ જોવા મળે છે, જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો અને એકતા ગામની સૌથી મોટી ઓળખ બની છે. ગામમાં શિક્ષણ અને બાળ વિકાસ માટે 13થી વધુ આંગણવાડીઓ અને પ્રાથમિક શાળા કાર્યરત છે. ઉપરાંત એચ.પી. વિદ્યાલય અને સર્વોદય મીરાદાતાર હાઈસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. APMC કપાસ અને તમાકુનું મોટું માર્કેટકૃષિ ક્ષેત્રમાં પણ ઉનાવા ગામ આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુજકો માસોલ નામની ખાતર બનાવતી એકમ કાર્યરત છે, જેના કારણે ગામની વિશેષ ઓળખ ઉભી થઈ છે. ઉનાવા APMCમાં કપાસ અને તમાકુની નોંધપાત્ર આવક થાય છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહ્યા છે. ઉનાવાનું બજાર પણ વિસ્તારનું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે. ગામની વિગત
મહેસાણાના મોઢેરા રોડ પર નુગર બાયપાસથી ગોકુલધામ સુધી એક તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો રોડ હજુ બનાવાયો નથી. જેના કારણે જૂના રોડની સરખામણીએ નવો રોડ લગભગ એક ફૂટ જેટલો ઊંચો રહેતા વાહનચાલકો માટે રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો છે. રોડ સાઇડના ક્રોસિંગમાં લેવલ ન મળતા વાહનો નીચે અડી જવાની શક્યતા રહે છે તેમજ એક તરફ ઝૂકી જતાં પલ્ટી ખાવાનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિને કારણે અનેક વાહનચાલકોને ગોકુલધામ સુધી જઈને પાછું વળવું પડે છે અથવા રોંગ સાઇડથી જવાનું જોખમ લેવું પડે છે તેમ વાહનચાલક હર્ષ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં દેદિયાસણ ગામ તરફથી આવતો માર્ગ તેમજ નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી પંપ આવેલા હોવાથી લોકોને ત્યાં જવા-આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી ક્રોસિંગના કટમાં યોગ્ય ઢાળ બનાવી વાહનચાલકો માટે રસ્તો સુલભ બનાવવાની માંગ ઉઠી રહી છે.
ખિસ્સા કાતરું ટોળકી ઝડપાઈ:પાલોદરના મેળામાં યાત્રિકોના ખિસ્સા કાપનાર અમદાવાદના 6 શખ્સ ઝબ્બે
પાલોદર ગામે જોગણી માતાજીના મેળામાં અમદાવાદની ખિસ્સા કાતરુ ટોળકીના 6 શખ્સોને મુદ્દામાલ સાથે મહેસાણા તાલુકા પોલીસે ઝડપી લઇ ચોરીની 3 ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તાલુકા પોલીસ સ્ટાફે મેળામાં શંકાસ્પદ જણાતાં પૂછપરછ કરી હતી. જેમાં મહેસાણા શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા દિલિપસંગ ઠાકોરના ખિસ્સામાંથી રૂ.4500, લશ્કરી કૂવા વિસ્તારના ઈબ્રાહીમભાઈ સીંધીના ખિસ્સામાંથી રૂ.6000 તેમજ મરેડા ગામના રોહિત રતુજી ઠાકોરના ખિસ્સામાંથી રૂ.4500 રોકડ ભરેલું પાકીટ ચોરી કર્યું હતું. પકડાયેલા આરોપીઓ 1. સાહિલ દિનેશભાઈ દંતાણી ખોખરા 2. સુમીત અશોકભાઈ લકુમ ખોખરા 3. અજીત રમણભાઈ રાવળ હરીપુરા 4. દિપક ભગાભાઇ દંતાણી અમરાઇવાડી 5.સાગર અશોકભાઇ દેવીપૂજક હરીપુરા 6.કરણ દિનેશભાઇ દંતાણી અમદાવાદ
વીજ પુરવઠો ખોરવાયો:મહેસાણા પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી બે દિવસ લાઇટ બંધ રહી
મહેસાણાના પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી વાયર બળી જતાં બે દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજા દિવસ સુધી વાયર બદલવાની કામગીરી ચાલુ હોઇ આ દરમિયાન ચારથી પાંચ પાર્લર, સ્ટોરમાં કુલીંગ બંધ રહેતાં આઈસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના વેપારને અસર થઇ હતી. શહેરના ગાંધીનગર લીંક રોડ પર દેલા વસાહત ચોકડી સ્થિત પાટીદાર પ્લાઝામાં શનિવારે પ્રથમ માળે જવાની સીડીના વાયરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં કોમ્પલેક્ષના વાયર બળી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થયો હતો. વેપારી સંજયકુમાર પટેલે કહ્યું કે, રવિવારે ઇલેકટ્રીશિયનને બોલાવીને નવા વાયરિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે, ખાણી-પીણીના પાર્લરમાં માલ સામાનની વધુ અસર થઇ છે. ઉપરાંત, પાલોદર બાયપાસ પાસે રોડની બાજુની સાઈડમાં ઝાડ સળગવા અને ઘાસમાં આગ લાગતાં મહેસાણા ફાયર ટીમે આગ બુઝાવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:સમોજા રોડ પર ઇકોની અડફેટે બાઈકસવાર પિતા-પુત્રને ઇજા
વડનગરના સિપોરથી સમોજા રોડના વળાંકમાં ઇકોની ટક્કર વાગતાં કુડા ગામના બાઈકસવાર પિતા-પુત્રને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઇ હતી. ખેરાલુના કુડા ગામના નિકુંજકુમાર સુથાર ગત 27 ફેબ્રુઆરીએ બપોરે સિપોર ચોકડીથી તેમના પિતાને બાઈક પર બેસાડીને સુથારી કામ માટે સેમોજા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સિપોર-સમોજા રોડના વળાંક પાસે સેમોજા તરફથી આવી રહેલી ઇકો ગાડી (GJ 01 KH 8261) બાઈક સાથે અથડાતાં પિતા-પુત્ર બંને રોડ પર નીચે પડી ગયા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા રીફર કરાયા હતા. અકસ્માતમાં નિકુંજ સુથારને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે તેમના પિતા ગણપતભાઈ સુથારને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર તથા શરીરે નાની-મોટી ઇજાઓ થતાં સારવાર બાદ રજા અપાઇ હતી.
વાયડ જૂથ અથડામણ કેસ:વાયડમાં અથડામણમાં સામસામે 51 સામે ફરિયાદ
સરસ્વતી તાલુકાના વાયડ ગામે લગ્નનો વરઘોડો કાઢવા મામલે થયેલી જૂથ અથડામણમાં સામેસામે 51 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બંને પક્ષોના 36 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પૃથ્વીરાજ ગેમરજી રાઠોડે 47 શખ્સો સામે જ્યારે જાલમસિંહ બાબુજી જાદવે 4 શખ્સો સામે નામજોગ સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષના 36 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે તપાસના ભાગરૂપે એફએસએલ અધિકારીની હાજરીમાં ઘટના સ્થળે પંચનામું કર્યું છે જ્યારે ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને કપડાં જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે તેવું સરસ્વતી પીઆઇ ડી.ડી.ચૌધરીએ જણાવ્યું હતું.
હુકમની અમલવારી કરવા સીઓને તાકીદ:કચરાના પ્લાન્ટનો વર્ક ઓર્ડર આપવા પ્રાદેશિક કમિશ્નરનો સીઓને આદેશ
પાટણ નગરપાલિકામાં સૂકા-ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટના ટેન્ડરનો વિવાદ છેલ્લા 6 મહિનાથી શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીએ સીધો હસ્તક્ષેપ કરી પાટણ ચીફ ઓફિસરને કડક આદેશ જારી કરીને નાગેશ કોર્પોરેશનને વર્ક ઓર્ડર આપવા બાબતે 258(1) હેઠળના હુકમની અમલવારી કરવા તાકીદ કરી છે. પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-258(1) હેઠળ નાગેશ કોર્પોરેશનના ટેન્ડર સંદર્ભે મહત્વનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ છતાં, પાલિકા તંત્ર દ્વારા અમલવારીમાં વિલંબ કરાતા અરજદારે 5, 6 અને 9 માર્ચના રોજ સતત રજૂઆતો કરી હતી. આ મામલે હવે મનોજ સોલંકી (ચીફ ઓફિસર, વર્ગ-1) દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે કમિશનરના આદેશ મુજબની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવો જણાવ્યું છે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
લોક અદાલત થઈ સાર્થક:નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 10991 કેસોનો નિકાલ
ન્યાય સર્વના માટે સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ શનિવારે પાટણ જિલ્લા અને તાલુકા મથકોની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. સમગ્ર પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસો મુકાયા હતા, જેમાંથી 10,991 કેસોનો નિકાલ થતાં કુલ રૂ.11,90,61,898ની રકમના સેટલમેન્ટ એવોર્ડ જાહેર કરાયા હતા લોક અદાલતમાં વર્ષોથી ચાલતા કાનૂની વિવાદો અને પ્રિ-લીટીગેશન કેસોનો પતાવટ લાવવા માટે પક્ષકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. . જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણના સેક્રેટરી આર.એ. નાગોરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 (ચેક રિટર્ન), વાહન અકસ્માત વળતર, મજૂર તકરાર, લગ્ન જીવનના વિવાદો, બેંક લેણાં અને જમીન વળતરના કેસોનો સમાવેશ કરાયો હતો. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં જ વિવાદ ઉકેલાય તેવા પ્રિ-લીટીગેશન કેસો પર પણ વિશેષ ભાર મુક્યો હતો. પ્રિ-લીટીગેશન અને રેગ્યુલર કેસો
રાહવીર યોજનાનું સુરસુરિયું:તંત્રની ઉદાસીનતાને કારણે રાહવીર યોજના કાગળ પર
માર્ગ અકસ્માતમાં ઘાયલોનો જીવ બચાવવા માટે સરકાર રાહવીર યોજના હેઠળ પ્રોત્સાહન પૂરું પાડે છે, પરંતુ પાટણ જિલ્લામાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ યોજના માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં નોંધાયેલા 300 અકસ્માતોમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલનના અભાવે એક પણ વ્યક્તિને ‘રાહવીર’ તરીકે પુરસ્કાર મળ્યો નથી. સરકારે મદદગાર વ્યક્તિ માટેની પ્રોત્સાહન રકમ રૂ.5,000 થી વધારીને રૂ.25,000 કરી છે, જેથી લોકો પોલીસ કનડગતના ડર વગર મદદ કરવા પ્રેરાય. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને સાક્ષી બનવા દબાણ કરી શકાતું નથી કે તેની ઓળખ જાહેર કરવામાં આવતી નથી. પાટણ એઆરટીઓ જે. કે. મોઢે જણાવ્યું કે, જો પોલીસ અને મેડિકલ ઓફિસર દ્વારા દરખાસ્ત તૈયાર કરી આરટીઓ કચેરીને મોકલવામાં આવે, તો તુરંત રકમ ચૂકવવામાં આવશે. હાલમાં તંત્ર વચ્ચેના સંકલનના અભાવે યોગ્ય વ્યક્તિઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી રહ્યો નથી.
ફરાર આરોપી ઝડપાયા:છેતરપિંડી અને ભરણપોષણના ગુનામાં ફરાર ત્રણ શખ્સો ઝબ્બે
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત સાંતલપુર અને સમી પોલીસે બાતમી આધારે મહેસાણા કોર્ટ અને રાધનપુર ફેમિલી કોર્ટના સજા વોરંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા 3 શખ્સોને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે. મહેસાણા કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 (ચેક રિટર્ન) મુજબ રૂ.1,41,194 ભરવામાં નિષ્ફળ જતા કોર્ટે અરજણભાઈ ભચાભાઈ આહીરને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. સાંતલપુર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.રાધનપુર ફેમિલી કોર્ટમાં ભરણપોષણની રૂ.29,000ની રકમ ન ચૂકવતા અમરતભાઈ ભલાભાઈ ગોહિલને 210 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પોલીસે આરોપીને વોરંટ હેઠળ છાણસરા ગામેથી પકડાયા હતા. સમી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.પી. જાડેજાની ટીમે બાતમીના આધારે ગુજરવાડા ગામેથી સજા પામેલ આરોપી ઓડ જેસંગભાઇ કોરશીભાઇને દબોચી લીધો હતો. જેની સામે મહેસાણા કોર્ટના ફોજદારી કેસમાં સજા વોરંટ ઇશ્યુ થયા બાદ તેઓ નાસતા ફરતા હતા, જેમને હવે કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.
રેલવે મેનેજરને રજૂઆત:રણુંજ-બહુચરાજી બ્રોડગેજ લાઈન પર જૂના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો દોડાવવા માંગ
કટોસણ-બહુચરાજી-રણું જ બ્રોડગેજ રેલવે લાઈનનું કામ પૂર્ણ થયાને સમય વીતવા છતાં પેસેન્જર ટ્રેનોના અભાવે મુસાફરો હેરાન થઈ રહ્યા છે. આ મામલે પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા અમદાવાદના ડીવીઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરી છે. પેસેન્જર એસોસિએશન રણુંજ દ્વારા કટોસણ,બહુચરાજી અને રણુંજ રેલવે લાઇન ઉપર જુના ટાઈમ ટેબલ મુજબ ત્રણ ટ્રેનો શરૂ કરવા માંગ કરવામાં આવી છે. એસોસિએશનના ઉપપ્રમુખ દર્શન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન બાદ આ લાઈન પર માત્ર માલગાડીઓ જ દોડી રહી છે.જે લોકહિતમાં નથી.આગામી સમયમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો લોકમેળો ભરાનાર છે, જેમાં લાખો ભક્તો ઉમટી પડશે. ભૂતકાળમાં રેલવે તંત્ર અમદાવાદ અને પાટણથી સ્પેશિયલ ટ્રેનો દોડાવતું હતું, જેનો લાભ હજારો મુસાફરોને મળતો હતો. ધર્મપ્રેમી જનતાની લાગણીને માન આપી જુના ટાઈમ-ટેબલ મુજબ 3 ટ્રેનો શરૂ કરવી જોઈએ.નવી બ્રોડગેજ લાઈન તૈયાર હોવા છતાં ટ્રેન સેવા શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં માત્ર માલગાડીઓ જ દોડે છે. જો મેળા પહેલાં ટ્રેન સેવા શરૂ નહીં થાય તો શ્રદ્ધાળુઓએ ખાનગી વાહનોમાં મોંઘું ભાડું ચૂકવવું પડે નહિ. પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીના ચૈત્રી પૂનમના મેળામાં જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવતી હતી. જો આ ટ્રેનો ફરી શરૂ થાય તો આજુબાજુના 25 થી વધારે ગામડાના શ્રદ્ધાળુઓને નજીવા ભાડાંમાં મા બહુચરના ધામમાં જવાનો લાભ મળશે.
છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં પ્રજાને પૂરતું પાણી મળી રહે તે માટે નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં પત્ર લખી તથા રૂબરૂ રજૂઆત કરી માંગ કરી હતી. જે માંગ સરકારે સ્વીકારી આદિવાસી પંથકની પ્રજાને સમસ્યાનો સામનો ન કરવો પડે, ખેડૂતોને પાણી મળી રહે અને કપરા ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે પ્રાધાન્ય આપીને ત્રણ નવા ચેકડેમ મંજૂર કર્યા છે. જેમાં કટારવાટમાં રૂા.3.41 કરોડ, નાના રામપુરામાં રૂા.1.59 કરોડ જ્યારે દડીગામમાં રૂા.1.12 કરોડ, આમ કુલ રૂા.6.12 કરોડના ચેકડેમ મંજૂર કરાયા છે. ઉનાળા દરમિયાન પ્રજાને પડતી પાણીની તકલીફો અને ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને છોટાઉદેપુર ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે નદીઓ ઉપર ચેકડેમો બનાવવામાં આવે. જે ચેકડેમો ખરાબ થઇ ગયા છે તેને રિપેરિંગ કરવામાં આવે. આ રજૂઆતોને પગલે ત્રણ નવા મંજૂર કરતાં આનંદની લાગણી ફેલાઇ છે. ગ્રામીણ પ્રજાને પાણીની તકલીફ ન થાય તેવા પ્રયાસ સરકારને કરેલ રજૂઆતમાં ધારાસભ્યે છોટાઉદેપુરના વીરપુર, અછાલા, વિજોલ, તથા જલોદા, મુળધર, જામલા, દડી ગામ, કટારવાટમાં નવા ચેકડેમ બનાવવા માટે રજૂઆત કરી હતી. જેમાં ત્રણ ચેક ડેમ મંજૂર થયા છે. જ્યારે કડાછલા, મોટા અમાદરા, ધોળજ, શેરપુરા, ભીંડોલ, અળસીપુર, વચલીભીત, લેવહાટ, ગુનાટા, ગામોમાં નદીઓ ઉપર રિપેરિંગ કરવામાં આવે તો આસપાસના ઘણા ગામોને પણ પાણી મળી રહે તે માટે પણ રજૂઆત કરાઇ છે. ગ્રામીણ વિસ્તારની પ્રજાને પાણીની તકલીફ ન થાય અને અંત આવે તેવા પ્રયાસ કરી પ્રજાની ચિંતા કરી છે.
ભક્તો આપે ધ્યાન:તા.19 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ મંદિરમાં દર્શનમાં ફેરફાર કરાયો
શક્તિ ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી 19મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે નવરાત્રીના પાવન દિવસોમાં યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનાં ધસારાને પહોંચી વળવા અને કોઈ તકલીફ વિના સરળ રીતે મા મહાકાળીના દર્શન થઈ શકે તેમજ સુવિધાઓ મળી રહે તેવા હેતુથી પંચમહાલ વહીવટી તંત્ર અને મંદીર પ્રસાસન દ્વારા તૈયારીઓ કરી રહ્યું છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ ખાતે ભક્તોની સુવિધા માટે રોપ-વે અને મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સમયપત્રક 17 માર્ચથી 2 એપ્રિલ સુધી અમલમાં રહેશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. જ્યારે રવિવાર તેમજ ખાસ તિથિના દિવસે ભક્તોની ભીડ વધવાની શક્યતા હોવાથી મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. નવરાત્રીના 9 દિવસ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પાવાગઢ તળેટીથી ઉપર તરફ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભક્તોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે પણ જિલ્લા પ્રસાસન દ્વારા વિષેશ વ્યવસ્થા કરી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર દર્શનનો સમય તિથિના દિવસે રોપ-વે 5 કલાકે શરૂ થશે ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીના પ્રથમ દિવસથી જ રોપ-વેના સમયમાં ફેરફાર અમલી બનશે. એકમ, ચોથ , આઠમ, અગિયારસ, પૂનમે ધસારો રહેતો હોય છે. આ 5 દિવસો દરમિયાન વહેલી સવારે 4:00 કલાકે ટિકિટ કાઉન્ટર ખોલી દેવાશે. સવારે 5:00 કલાકે રોપ-વે ટ્રોલી ભક્તો માટે શરૂ કરી દેવાશે. જ્યારે બાકીના સામાન્ય દિવસોમાં સવારે 5:00 કલાકે કાઉન્ટર ખુલશે અને 6:00 વાગ્યાથી રોપ-વે સેવા કાર્યરત થશે.
આત્મહત્યા:દેવરીયા ગામે પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાધો
ખંભાળિયાના દેવરીયા ગામે પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા માટે તપાસ હાથ ધરી પરિવારજનો, પાડોશીની પૂછપરછ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના દેવલિયા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાન અવધેશકુમાર વકીલસિંહ (ઉંમર 24)એ અજાણ્યા કારણોસર પોતાના નિવાસ સ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે શનિવારે દેવલિયા ગામ ખાતે આવેલા પોતાના રહેઠાણમાં અવધેશકુમાર વકીલસિંહે કોઈ અકળ કારણસર આ પગલું ભર્યું હતું. બાદમાં પરિવારજનો અને આસપાસના લોકોએ તેમના રૂમમાં નિષ્પ્રાણ હાલતમાં લટકતો દેહ જોયો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે દેવલિયા ગામના પપ્પુ ઉર્ફે રણજીતસિંહ (ઉંમર 50) દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદેહને આગળની પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્મત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને યુવાને આત્મહત્યા કરવાનું કારણ શું હતું તે જાણવા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આત્મહત્યા:કામ ધંધો ન કરતા ઠપકો આપતા યુવાનનો આપઘાત
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે તામશી મગજના યુવાન કોઈ કામધંધો કરતો ન હોય. આ બાબતે ઘરના સભ્યોએ તેને ઠપકો આપતા લાગ ી આવતા તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુરૂભાઈ હમીરભાઈ કોડીયાતર (ઉંમર અંદાજે 27 વર્ષ) હોવાનું જાણવા મળે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ સ્વભાવથી થોડા ઉગ્ર અને તામસી મિજાજના હતા. તેઓ કોઈ નિયમિત કામધંધો કરતા ન હોવાથી ઘરના સભ્યો વારંવાર તેમને કામકાજ કરવા માટે સમજાવતા અને મીઠો ટપકારો આપતા હતા. આ બાબત મનમાં લાગી આવતા અને માનસિક રીતે વ્યથિત બની ગયેલા મુરૂભાઈએ ગઈકાલે શનિવારના રોજ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના સામે આવતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. આ બનાવ અંગે દેવાભાઈ રાણાભાઈ કોડીયાતર દ્વારા ભાણવડ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ બનાવથી નાના એવા પાછતરડી ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પરિવારજનો પણ હજુ આ ઘટનાને માની શકતા નથી. ત્યારે પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
કાર્યવાહી:મોટા છૈડા ગામની ઝાડીમાંથી વિદેશી દારૂ સહિત રૂ. 8.46 લાખનો મુદ્દામાલ ઝબ્બે
બોટાદ એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે બોટાદ જિલ્લાના મોટા છૈડા ગામે ભાદર નદીની બાજુમાં પડતર જગ્યામાં બાવળની કાટમાં ભારતીય બનાવટના વિદેશી બિયરનો જથ્થો ભરેલ નંબર વગરની બોલેરો પીકપ ગાડી ઝડપી લઇ અલગ અલગ કંપની બ્રાન્ડના સીલપેક બિયર ટીન નંગ 1608 કિ.રૂ. 3,46,560 તથા બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.5 લાખ મળી 8,46 520 નો મુદ્દામાલ પોતાના આર્થીક ફાયદા સારૂ રાખી રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા બોલેરો પીકઅપના ચાલક/માલીક વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસની કાર્યવાહી કરી છે. બનાવની વિગત પ્રમાણે,બોટાદ એલસીબીમાં અનાર્મ એ.એસ. તરીકે ફરજ બજાવતા હરેશભાઈ બુધાભાઈ ખેરાળીયા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો 14 માર્ચના રાત્રિના 9-00 વાગ્યાથી પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન રાત્રિના 11-30 કલાકે રતનપર ચોકડી પાસે પહોંચતાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રમેશભાઈ સાપરાને હકીકત મળેલ કે, બોટાદ જિલ્લાના મોટા છૈડા ગામની સીમમાં ભાદર નદી બાજુ આવેલ પડતર જગ્યામાં બાવળની કાટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો ભરેલ એક પીકઅપ પડેલ છે. જેથી પોલીસે રેઇડ કરતા ત્યાં એક મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી પડેલ હોય જે ગાડીના નંબર જોતા આગળ પાછળ નંબર લખેલ ન હોય જેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં તપાસ કરતા પુઠાના બોક્સ મળી આવેલ. જે બોકસમાં જોતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયરના અલગ અલગ કંપની બ્રાન્ડના સીલપેક ટીન નંગ-1608 કિ.રૂ. 3,46,560 તથા બોલેરો પીકઅપ કિંમત રૂ.5 લાખ મળી કુલ 8,46,560નો મુદ્દામાલ પોતાના આર્થીક ફાયદા સારૂ રાખી રેડ દરમ્યાન હાજર નહીં મળી આવતા બોલેરો પીકઅપના ચાલક/માલિક વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.કલમ 65(એ)(ઈ), 116(બી), 98(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
અકસ્માતની ભીતિ:હેરંજ બ્રિજનું ડાયવર્ઝન ભારદારી વાહનો માટે જોખમી બન્યું
મહુધાના હેરંજ પાટિયા નજીક શેઢી નદી પર ચાલી રહેલ નવીન પુલ બનાવવાની કામગીરીને લઈ વાહનોની અવરજવર ચાલુ રાખવા અપાયેલ વધુ પડતી ડીપ અને સાંકડા ડાઇવર્ઝન લઈ શનિવારની રાત્રિના બટાકાના કટ્ટા ભરેલ ભારદારી ટ્રક વધુ પડતાં ડીપ અને સાંકડા ડાઇવર્ઝનના પગલે નદીમાં ખાબકી હતી. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ હેરંજ પાટિયા નજીકનો શેઢી નદી પરનાં બ્રિજમાં વાહનોની અવરજવર ચાલુ રાખવા રસ્તામાં બનાવેલ ડાઇવર્ઝન વાહન ચાલકો માટે જોખમી અને જીવલેણ બની રહ્યો છે.શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એક માલસામાન ભરેલ ટ્રક અલીનાથી પણસોરા તરફ જતા સમયે ડાયવર્ઝનમાં વધુ પડતી ઊંડાઈ ને લઈ બીજી તરફ ઢાળ ચઢી ન શકતા અવારનવાર ઢાળ ચઢવાનો પ્રયાસ કરતાં ટ્રેકની એક્સેલ તૂટી ગઈ હતી.અને ટ્રક ડાઇવર્ઝનની ડીપમાં વચ્ચે જ ખોટકાતા ડાયવર્ઝનની બંને તરફ બે થી ત્રણ કિમી જેટલી વાહનોની લાઈન લાગી હતી. બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકો અને વાહનમાં બેઠેલા પેસેન્જરોને તપવાનો વખત આવ્યો હતો.જોકે સમય જતાં આખરે ક્રેન મારફતે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.ત્યારે બીજા દિવસ શનિવારની રાત્રિના વધુ પડતી ઊંડાઈ અને સાંકડા ડાયવર્ઝનનાં પગલે એક બટાકાના કટ્ટા ભરેલ ટ્રક નદીમાં ખાબકી હતી.
અકસ્માત સર્જાયો:વ્યારાના ઉનાઈ નાકે બાઈકની અડફેટે મહિલાને ગંભીર ઈજા
વ્યારા શહેરના ઉનાઈ નાકા વિસ્તારમાં શનિવારે સાંજે બનેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં તેને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વ્યારા શહેરના વેગી ફળીયામાં રહેતા અંકિતકુમાર ચંદ્રેશભાઈ ચૌધરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કુંટુંબીક સગા જમનાબેન રાજુભાઈ ચૌધરી શનિવારીના બજારમાં ખરીદી કરવા ઉનાઈ નાકા વિસ્તારમાં ગયા હતા. ખરીદી કરી પરત વેગી ફળીયા તરફ આવતાં તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મિશન નાકાથી ઉનાઈ રોડ તરફ પૂરઝડપે આવી રહેલી બાઈક તેમની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જમનાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ ફેક્ચર થયું હતું તેમજ ડાબા કાનમાંથી લોહી નીકળતું હતું. ઉપરાંત બન્ને ઘૂંટણના ભાગે ઘસરકા અને શરીરના અન્ય ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તરત જ વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.
વસતી ગણતરી 19 એપ્રિલ 2026થી શરૂ થશે. સામાન્ય રીતે દર 10 વર્ષે થતી જનગણના કોરોના મહામારીના કારણે 2021માં થઈ શકી નહોતી, તેથી હવે તે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જિલ્લામાં અંદાજિત 4 હજાર વધુ અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. નિયમ મુજબ લગભગ 700થી 800 લોકોની વસ્તી દીઠ એક ગણતરીદાર નીમવામાં આવશે. તમામ કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા ઘર-ઘર જઈને રિયલ ટાઇમ ડેટા એકત્ર કરશે, જે ડેટા સીધો સર્વર પર અપલોડ થશે. પ્રારંભિક અંદાજ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વસ્તી 36 લાખ સુધી પહોંચી શકે છે. આ જનગણનામાં પ્રથમ વખત સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થશે. નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પણ તક મળશે. આ ઉપરાંત આ વખતે પહેલીવાર સ્વ-ગણતરીનો વિકલ્પડિજિટલ જનગણના 2027માં નાગરિકોને સ્વ-ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન આધિકારિક જનગણના પોર્ટલ પર મોબાઇલ નંબર અથવા આધાર આધારિત OTP દ્વારા લોગિન કરી પરિવારની માહિતી પોતે ભરવી પડશે. આ માહિતીમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, આવાસ અને સુવિધાઓ જેવી વિગતો સામેલ રહેશે. સફળ સબમિશન પછી રજિસ્ટ્રેશન નંબર મળશે, જેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવું પડશે. બે તબક્કામાં થશે જનગણના લોકો પાસેથી પૂછવામાં આવશે33 પ્રશ્ન આગામી જનગણનામાં દરેક પરિવારને 33 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ જેવી માહિતી સામેલ રહેશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઈંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. મેપ પર દરેક ઘર ડિજિ ડોટ બનશે જેના ફાયદા1. આપદા વ્યવસ્થાપનમાં મદદ : જિયો-ટેગિંગથી ગામ-શહેરના બદલાતા પેટર્ન અંગે માહિતી મળશે. 2. ચૂંટણીમાં સહાય : સંસદ અને વિધાનસભા વિસ્તારની સીમાઓ નક્કી કરવા માટે જનગણના આધાર બનશે. 3. શહેરી આયોજન : સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક વગેરે માટે પ્લાનિંગમાં મદદ મળશે. 4. માઇગ્રેશન ટ્રેકિંગ : જનગણનામાં બદલાવથી શહેરીકરણ દર અને સ્થળાંતર પેટર્ન સમજાશે.5. મતદાર યાદી વધુ મજબૂત : જિયો-ટેગિંગ અને આધાર આધારિત ડિજિટલ નામો વોટર લિસ્ટ મજબૂત બનાવશે. ધર્મ મુજબ વસતી જિલ્લા તાલુકા વાઈઝ વસ્તી (૨૦૧૧)
સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF)ના નેજા હેઠળ દંડકારણ્યની ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર અને હનુમાન ભવન (કોમ્યુનિટી હોલ) નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના આ પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવવામાં આવ્યા હતા. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છેઃ રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાના સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું કાર્ય અભિનંદનીય છે. દિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ-કોંક્રિટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશ કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવનમૂલ્યો તરફ વળી રહી છે. આધ્યાત્મિક વિચારો જ સમાજને કુરીતિઓમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ‘નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે’વધુમાં રાજ્યપાલે જણાવ્યું કે, સુકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીને આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. 311 મંદિરોમાંથી 200નું નિર્માણ પૂર્ણઃ ગોવિંદ ધોળકિયા311 મંદિર નિર્માણનો સંકલ્પ લેનાર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સહયોગી દાતાઓના ટીપમાં 200 પરિવારો મંદિર નિર્માણના યજ્ઞમાં જોડાઈ ગયા છે. 311 મંદિરો પૈકી 200 મંદિરોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 175 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે. હનુમાન મંદિર નિર્માણના પ્રેરણામૂર્તિ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપકશ્રી પી.પી.સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં મંદિર નિર્માણના યજ્ઞ સમાન કાર્યની રૂપરેખા આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણઃ રાકેશ દુધાતદાતા અને અગ્રણી ઉદ્યોગપતિ રાકેશ દુધાતે હતું કે, 2017માં પૂ. પી.પી. સ્વામીજી અને ગોવિંદકાકાના ડાંગ પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચા અને આસ્થાના પરિપાક રૂપે 311 હનુમાન મંદિર નિર્માણ ભગીરથ કાર્યનો આરંભ થયો છે. જે અંતર્ગત ડાંગના ગામેગામ હનુમાનજી ભવનના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યા છે. આ વેળાએ રામનાથ કોવિંદના હસ્તે શ્રીમદ્દ ભાગવત ગીતાના આદર્શ જીવનસંદેશને જન જન સુધી લઈ જવા માટે શ્રી ગીતા જ્ઞાન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
બોટાદના જૈન પરિવારે પશુઓ માટે ₹11,000 આપ્યા:લગ્નની વર્ષગાંઠે પાળીયાદ પાંજરાપોળને દાન કર્યું
બોટાદના વતની અને હાલ અમદાવાદમાં ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિનાબેન મિતભાઈ વસાણીએ તેમની પ્રથમ લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારા માટે ₹11,000નું દાન આપ્યું હતું. જીવદયા પ્રેમી ક્રિનાબેન વસાણીએ પાંજરાપોળની વર્તમાન સ્થિતિ અંગે વિચાર્યું હતું. તેમણે નોંધ્યું કે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં મોટી સંખ્યામાં અબોલ પશુ-પક્ષીઓ છે અને તેની આવક કરતાં જાવક વધુ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે આ દાન કરવાનો નિર્ણય લીધો હતો.પાળીયાદ મહાજન પાંજરાપોળ દ્વારા આ રકમ સ્વીકારવામાં આવી હતી. પાંજરાપોળે 'અહિંસા પરમો ધર્મ'ના સૂત્ર સાથે ક્રિનાબેન વસાણીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના આ જીવદયા કાર્યને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાત આજે માત્ર વિકાસ કાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક બની રહી હતી. સિંગવડ ખાતે 367.78 કરોડના વિકાસ કામોની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા તેમની સતત નિકટ જોવા મળ્યા હતા. હેલિપેડ પર ઉતરાણથી લઈને પરત વિદાય સુધીના તમામ કાર્યક્રમોમાં સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં તેમની સાથે જ સવાર રહેતા જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે. હેલિપેડથી સભા સ્થળ સુધીની ગાઢ નિકટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે હેલિપેડ પર ઉતર્યા ત્યારે મંત્રીઓ, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે મુખ્યમંત્રી સભા સ્થળ જવા રવાના થયા ત્યારે તેમની સરકારી ગાડીમાં માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા જ તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે મંત્રીઓ કે વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીની સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ સંગઠનના પ્રમુખને મળેલી આ વિશેષ પ્રાધાન્યતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકાર્પણથી સાંસદના નિવાસસ્થાન સુધીનો સાથ મુખ્યમંત્રી સિંગવડ મામલતદાર કચેરીના લોકાર્પણ માટે ગયા ત્યારે પણ સ્નેહલ ધરીયા તેમની પડખે રહ્યા હતા. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરના દાસા સ્થિત નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જવા માટે અને ત્યાંથી પરત હેલિપેડ સુધી પહોંચવા સુધીના તમામ રૂટ પર સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં જ સાથે રહ્યા હતા. આખા પ્રવાસ દરમિયાન જે રીતે અન્ય નેતાઓને બદલે માત્ર જિલ્લા પ્રમુખને જ આટલી નિકટતા મળી, તેણે રાજકીય ચર્ચાઓને નવો વળાંક આપ્યો છે. બંધ બારણે થયેલી ચર્ચાઓથી અટકળો તેજ મુખ્યમંત્રી અને સ્નેહલ ધરીયા વચ્ચે વાહનમાં મુસાફરી દરમિયાન લાંબો સમય કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે તેને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફારો, જિલ્લાના પડતર પ્રશ્નો કે કોઈ મોટા રાજકીય સમીકરણો અંગે મુખ્યમંત્રીએ સીધું માર્ગદર્શન આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી કાર્યક્રમોની વચ્ચે સંગઠન પ્રમુખની આ પ્રકારે સતત હાજરી દાહોદ ભાજપના આંતરિક રાજકારણમાં સ્નેહલ ધરીયાનું વધતું વર્ચસ્વ દર્શાવે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગોવર્ધન વસ્તી દ્વારા એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી કે જિલ્લામાં પ્રથમ વખત માતૃશક્તિ એટલે કે બહેનો દ્વારા તેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સંમેલન પૂર્વે બહેનોની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. વેરાવળના ટાવર ચોકથી શરૂ થયેલી આ રેલી સંમેલન સ્થળ કપીશ્વર પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે જુદા જુદા સમાજ અને સંગઠનો દ્વારા તેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. બહેનોના ઉત્સાહ અને દેશભક્તિભેર નારા સાથેની આ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વેરાવળ સ્થિત કપીશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સંમેલનમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન કાર્તિકેયભાઈ પારેખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાગઢ વિભાગના કાર્યવાહ જીતેન્દ્રભાઈ સાલસિયા અને વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક લી.ના ડિરેક્ટર બિંદુબેન ચંદ્રાણીએ હિંદુત્વ, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભીડીયા માછીમાર સમાજની દીકરીઓએ દંડ સાથેની વિશિષ્ટ કૃતિ રજૂ કરી હતી. આ ઉપરાંત, નાના ભૂલકાઓ દ્વારા લગભગ 15 મિનિટ સુધી સંસ્કૃતના કંઠસ્થ શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે સમાજ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપતા વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું. હિન્દુ સંમેલન જેવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ ધર્મની સેવા, સંસ્કૃતિનું સંરક્ષણ, સમાજમાં એકતા અને સંસ્કારોનું સંવર્ધન કરવાનો હોય છે. વેરાવળમાં યોજાયેલું આ સંમેલન પણ એ જ ભાવનાને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. સમગ્ર આયોજનથી લઈને સંચાલન સુધીની તમામ જવાબદારી બહેનો દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી, જે નારી શક્તિ અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યાએ તેમજ પડધરીમાં એક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રૈયાધારમાં રહેતા હિતેષ દિનેશભાઈ ડવ અને તેની પત્ની ઇલાબેનને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે સોનાની કાનની બૂટી, ચેઇન, પેન્ડલ ઉપરાંત ચાંદીનો કંદોરો, સાંકળા, કમરનો ઝૂડો, પગમાં પહેરવાના કડલા, ચાંદીનો સિક્કો સહિતના દાગીના કબજે કર્યા હતા. આ સાથે જ રૂ.35000ની રોકડ, મોબાઇલ, બાઇક સહિત રૂ.15,51,575નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાને મરવા મજબૂર કરનાર સસરા-નણંદ સામે ગુનોસુરેન્દ્રનગરના ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિશાલ નનુભાઈ કુકડીયાએ થોરાળા પોલીસ મથકમાં ગંજીવાડામાં રહેતા વશરામભાઈ મકવાણા અને તેની પુત્રી આરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 23 એપ્રિલ, 2025ના મારી બહેન છાયાના લગ્ન ગંજીવાડામાં રહેતા રણજીત મકવાણા સાથે થયા હતાં. લગ્ન બાદ મારી બેનના સસરા વશરામભાઈ અને નણંદ આરતી વીંટી ચોર્યાનો ખોટો આરોપ લગાવતા હતા, જેથી 9 માર્ચના બહેન છાયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીનું નેટ બેન્કિંગ, મેઈલના ઍક્સેસ મેળવી ભેજાબાજોએ રૂ.20 લાખ ઉપાડી લીધારાજકોટમાં 26 વર્ષીય ખુરબાન ડામરા નામના કૃષિ ઉત્પાદનોની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે બીએનએસની કલમ 318 (4), 61(2) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘુંટા ગામ ખાતે રહેતા તેમજ રાજકોટ શહેરના રાજપૂત પરા વિસ્તારમાં ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવનારા ડામરા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 માર્ચ, 2026ના રોજ મારી પેઢીમાં કામકાજ કરનારા વિમલ કાથરોટીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ બેંક ખાતે અન્ય પેઢીને ચૂકવણી કરવા માટે આરટીજીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરવા ગયા હતા, પરંતુ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેઢીના બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી. તેમજ હાલમાં રૂ.19,99,400ના ત્રણ અલગ અલગ ટ્રાન્જેક્શન એક જ બેંક એકાઉન્ટમાં થવા પામ્યા છે. આ બાબતની જાણ થતા મેં મારી ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી પેઢીની જાણ બહાર પેઢીના બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપડી ગયા છે. તેમજ બેંકમાં રજિસ્ટર થયેલ પેઢીનું મેઇલ આઇડી ચેક કરતા તે પણ ખુલવા પામ્યું ન હતુ. તેમજ તેનો એક્સેસ પણ અમારી પાસેથી જતો રહ્યો હતો. જે બાબતે સાઇબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર કોલ કરી અરજી પણ નોંધાવી હતી. દરમિયાન જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તે પંજાબ નેશનલ બેંકનું હોવાનું તેમજ નિશી ફેશન નામની પેઢીનું હોવાનું સામે આવ્યું હતું. તેના પ્રોપરાઇટર તરીકે વિનોદ ભોજવાણી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વિનોદ ભોજવાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના બેંક એકાઉન્ટમાં રાજકોટ ખાતે રહેતા રોનક જેઠવા દ્વારા પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ તે રકમ વિનોદ ભોજવાણી દ્વારા આંગડિયા મારફતે રોનક જેઠવાને મોકલી આપવામાં આવી હતી. તે રકમ પેટે વિનોદ ભોજવાણીને 39,400 જેટલી રકમ કમિશન પેટે આપવામાં આવી હતી.આમ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા અને અજાણ્યા વ્યક્તિઓએ કોમ્પ્યુટર રિસોર્સીસનો ઉપયોગ કરીને ડમરાની ઓમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના બેન્ક એકાઉન્ટમાં નેટબેન્કિંગ તેમજ ઇ-મેલ આઇડીનો ગેરકાયદેસર રીતે એક્સેસ મેળવી તેમજ બેંકના ઓટીપી અપ્રમાણિક રીતે મેળવીને તેમની પેઢીના બેંક એકાઉન્ટમાંથી 19,99,400 રૂપિયા જેટલી રકમ અનઅધિકૃત રીતે મેળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા શખસને રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધીરાજકોટના અમીન માર્ગ ઉપર રહેતા 19 વર્ષીય વેપારી જેનીલભાઇ વાગડીયાએ ભક્તિનગર પોલીસ મથકમાં કેવડા વાળીમાં રહેતા મંથન મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 13 માર્ચના દિગ્વીજય મેઇન રોડ પર તેના મિત્રની રાહ જોતા હતા, ત્યારે મંથન ત્યાં આવ્યો હતો અને જેનીલનું બાઇક લઈ તેને પાછળ બેસી જવા કહ્યું હતું. જે બાદ કેવડાવાડીમાં વસુંધરા એપાર્ટમેન્ટ પાસે લઈ જઈ ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી યુવાન ડરી ગયો હતો અને પોતે પહેરેલી રૂ.2.75 લાખની સોનાની લક્કી આપી દીધી હતી. જેથી તે લક્કી લઈ મંથન નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. નટેશ્વર મહાદેવ મંદીરમાંથી રૂ.10,800ની ચોરીશહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા નટેશ્વર મહાદેવ મંદિર માંથી ચોરી થયાની કોઠારીયા કોલોનીમાં રહેતા વિરભદ્રસિંહ માવુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 14 માર્ચના રાત્રિના સમયે અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડી રૂ.10000 ની રોકડ, ટંકોરી અને સ્ટીલની ડોલ મળી રૂ.10800 ની માલમતાની ચોરી કરી હતી. ડી-માર્ટ મોલ મોડી રાત્રે કેમ ખૂલ્લો છે? કહી શખસોની દાદાગીરી રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં આવેલા ડી-માર્ટમાં ગત 5 માર્ચના રાત્રિના 10 વાગ્યા આસપાસ એમ. જી. હોસ્ટેલમાં રહેતા કૈલાશ સોલંકી, જતીન તેમજ તેની સાથે આવેલો એક અજાણ્યો શખસ એક્ઝિટ ગેટમાંથી અંદર આવ્યા હતાં. ‘અત્યારે ડી માર્ટ કેમ ખૂલ્લો છે? બંધ કરી દો’ કહી દાદાગીરી કરી હતી અને મોલ બંધ નહીં થાય તો અહીં કાલાવડ ઉપરની એમ.જી. હોસ્ટેલમાં જ રહીએ છીએ. પોલીસમાં તમારા વિરોધી ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી જીવવા નહીં દઈએ, જેવી ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોધરામાં ચેટીચંદ પર્વ પૂર્વે ભારતીય સિંધુ સભા યુવા ટીમ દ્વારા 15 માર્ચે સાંજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં 'જય ઝૂલેલાલ'ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. બી ફોર ચેટીચંદ ના ઉપલક્ષમાં યોજાયેલી આ રેલીમાં સિંધી સમાજના યુવાનો, બાળકો અને વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સંસ્કૃતિનું જતન કરવાનો હતો. રેલીનો પ્રારંભ લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે પરંપરાગત પૂજા-અર્ચના અને ઈષ્ટદેવના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે કલાલ દરવાજા, પાંજરાપોળ, એલ.આઇ.સી. રોડ, વિશ્વકર્મા ચોક, સિવિલ હોસ્પિટલ રોડ, બહારપુરા, ભૂરાવવા ચોકડી, પાવર હાઉસ અને ઝૂલેલાલ સોસાયટી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. બાઇક રેલીનું સમાપન લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે જ થયું હતું. સેંકડો બાઇક સવારોએ પોતાના વાહનો પર ધર્મધજા લગાવી 'જય ઝૂલેલાલ' અને 'આયો લાલ, ઝૂલેલાલ' ના નારા લગાવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસકર્મીઓ જ્યારે બાતમીના આધારે ગામમાં દરોડો પાડવા ગયા ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં બે પોલીસ કર્મી અને ડ્રાઈવરને ઈજા પહોંચીભાલ પોલીસ સ્ટેશનના જસવંતપુરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટનામાં લકીરાજસિંહ મહાવીર સિંહ, અભેસંગભાઈ ભાવસંગભાઈ અને કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઇવર સહિતનાઓને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. Dysp ,LCB સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળેદિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં DYSP આર.આર.સિંધાલ એ જણાવેલ કે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓ પર અંદાજિત 15 થી 20 લોકો લાકડી અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી હોવાનું જણાવ્યું હતું.
ભાજપ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક ફેરફાર:નવા હોદેદારોની જાહેરાત, વિવિધ જિલ્લાઓને મળ્યું પ્રતિનિધિત્વ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી અને અન્ય હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે 'મિશન ઈમ્પોસિબલ', કોંગ્રેસ માટે કપરા ચઢાણ
Assembly Elections Opinion Poll: આજે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીનો 'એલાન-એ-જંગ' થઈ ગયો છે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે MATRIZE-IANSના ઓપિનિયન પોલ જાહેર કર્યો છે, તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. કેવા સમીકરણો બની રહ્યા છે?
બ્રહ્મ સમાજ દ્વારા 900 જેટલી યુવતીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવતીઓને બેહદ નામની ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેનો હેતુ તેમને પ્રેમના નામે થતી છેતરપિંડી અને ભ્રમણાઓથી સજાગ કરવાનો હતો. સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી હતી. આજના સમયમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા યુવતીઓને ભ્રમિત કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે તેમને સાચી હકીકત સમજાવીને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો વિચારપૂર્વક અને પરિવારના માર્ગદર્શન સાથે લેવા જોઈએ. તેમણે પ્રેમના નામે થતા કોઈપણ ભ્રમ કે દબાણથી દૂર રહી પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો જાળવવા માટે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો વિચાર નિવૃત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આવ્યો હતો, ત્યાર બાદ સમાજના યુવાનોએ એકત્ર થઈને તેનું આયોજન કર્યું હતું. રમેશભાઈ જોશી અને સ્નેહલભાઈ મહેતા આ કાર્યક્રમના મુખ્ય દાતા હતા. આ અંગે મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રેમના નામે ખોટા ધંધા શરૂ થયા છે, જેનાથી ભારતની પરંપરા તૂટી રહી છે અને પરિવાર ભાવના વિખેરાઈ રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે સૌ જાગૃત થઈએ અને ભાગેડુ લગ્નનો વિરોધ કરીએ. જોકે આ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે સમાજની આ પહેલથી સમાજના સૌ વડીલોએ આપણી આવનારી પેઢી, આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા રીતિ-રિવાજો જાળવી રાખી, આપણું કલ્ચર જાળવી રાખીએ એના માટે કરીને આજે જે કેટલાક કિસ્સાઓ લવ-જિહાદના બને છે એ એક પહેલા સ્ટેજની અંદર દરેકને સારું લાગતું હોય, આ ઉંમર હોય છે દરેકની કે ભાઈ હું મારા પસંદગીના માણસ સાથે પરણું. આ એક ઉંમર હોય છે પણ આની પાછળના જે ષડયંત્રો હોય છે એ સારી રીતે કદાચ કેરલા સ્ટોરીમાં પણ કીધેલું છે એની ટ્રુ સ્ટોરી આવી છે. એના પછી આ એક બેહદ પિક્ચર આવ્યું છે એ બહુ સારી રીતે કહે છે કે એના પછી શું થતું હોય છે. પ્રેમના કોઈ વિરોધી ન હોઈ શકે પણ પ્રેમના નામે ષડયંત્ર થતું હોય તો શું થતું હોય છે એ આજે દેખાડવાની જે આગેવાનોએ કોશિશ કરી છે એ આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારી આ કોશિશ જે છે એ આવનારી પેઢીને સુરક્ષિત કરશે, સમાજને સુરક્ષિત કરશે, સમાજની દીકરીઓને સુરક્ષિત કરશે, એના માટેનું જે પગલું આપે ભર્યું છે એના માટે હૃદયપૂર્વકના ખુબ ખુબ અભિનંદન આપું છું. ખુબ આગળ વધો અને હજીએ આ જ પ્રકારે કદાચ પિક્ચર દેખાડવા આપણે ન પડે પણ જાતે સ્વયંભૂ શક્તિ જ એ કહી દે એનો તેજ એટલો હોય કે આવા લવ-જિહાદના ષડયંત્રો એની સામે આવી જ ન શકે એવી પેઢી તૈયાર કરવા માટે પણ વિનંતી કરું છું. એના માટે બાલ સંસ્કાર કેન્દ્રો હોય, એના માટે ગર્ભ સંસ્કાર કેન્દ્રો હોય જેવી પ્રવૃત્તિ પણ આપ ચાલુ કરો એવી આ તબક્કે વિનંતી પણ હું કરું છું. જોકે આ અંગે સમાજના આગેવાન મનોજભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, સમાજની દીકરીઓમાં જાગૃતિ આવે અને બહેન-દીકરીઓ જે વર્તમાન સમયની જે સ્થિતિ છે, લવ જેહાદના નામે જે ખેલ ચાલે છે, પ્રેમને ખોટી રીતે પ્રસ્તુત કરીને ખોટા જે ધંધા ચાલુ થયા છે. એમાંથી જાગૃતિ મળે માટે બ્રહ્મ સમાજની આજે 900થી વધુ બહેનો 'બેહદ' પિક્ચર જે ગુજરાતી ચલચિત્ર છે એનું આયોજન અહીંયા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો એકમાત્ર હેતુ એ છે કે સમાજની દીકરી-બહેનો પ્રેમ વિશે જાગૃત થાય, પ્રેમના નામે જે લોકો ખોટું કામ કરી રહ્યા છે એ લોકો બહાર લાવવા ખૂબ જ જરૂરી છે અને વર્તમાન સમયના ટેક્નોલોજીના સમયમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા થતી હોય, અમારા નિવૃત્ત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આ વિચાર આવેલો કે દીકરીઓને આ પિક્ચર બતાવીએ અને પિક્ચરના માધ્યમથી એક સંદેશ આપવાનો પ્રયત્ન હતો. એટલે દાતા સ્નેહલભાઈ મહેતા, આર.પી. જોશી સાહેબ, મંત્રી પણ આવ્યા છે, ધારાસભ્ય તમામ આગેવાનો છે, બધા ભેગા મળીને દીકરીઓ પ્રેમ વિશે જાગૃત થાય અને સમયની સાથે બદલાવ લાવે, સંસ્કારો અને પરંપરાની જાળવણી કરે એ જ હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, પૂજ્ય વિજય સોમજી મહારાજ, કૃણાલભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દીલશુખભાઈ અગ્રવાલ, રમેશભાઈ પંડ્યા, આર.એસ.એસ.માંથી કૈલાશજી જોશી, ડાહ્યાભાઈ ગામી અને મહિલા અગ્રણી રાજીલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સભ્યો અને વાલીઓ દ્વારા આ અનોખી પહેલને વ્યાપક સરાહના મળી હતી, અને આગેવાનોએ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સમાજને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક હળવી અને રસપ્રદ ઘટના સામે આવી હતી. વિધાનસભા પરિસરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે થોડા સમય માટે હાસ્યનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં ચર્ચા કરી રહ્યા હતા અને તેમને વિધાનસભા તેમજ સચિવાલય અંગે માહિતી આપી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પસાર થઈ રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પોતાના સમર્થકોને કિરીટ પટેલનો પરિચય કરાવ્યો. પરિચય બાદ એક AAP સમર્થકે હળવા અને મજાકીય અંદાજમાં કિરીટ પટેલને કહ્યું કે, ત્યાં ફાવતું ન હોય તો આમ આદમી પાર્ટીમાં આવી જાવ ને... સમર્થકની આ ટિપ્પણી સાંભળતા જ ત્યાં હાજર લોકોમાં હાસ્ય ફરી વળ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તરત જ હળવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અરે ભાઈ, એવું ના હોય... તેમના આ જવાબ પછી વાતચીત વધુ હળવા માહોલમાં આગળ વધી. વિધાનસભા સત્ર દરમિયાન સામાન્ય રીતે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે, પરંતુ આ પ્રકારની હળવી ઘટના થોડો સમય માટે વાતાવરણને હળવું બનાવી દેતી હોય છે. આ ઘટનાએ પણ વિધાનસભા પરિસરમાં થોડો સમય માટે હાસ્યનો માહોલ સર્જ્યો હતો અને ત્યાં હાજર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.
વલસાડ પોલીસે ગેસ એજન્સી, CNG પમ્પ સંચાલકો સાથે બેઠક યોજી:સુરક્ષા અને નિયમોના પાલન પર ભાર મૂકાયો
વલસાડ સિટી પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સુવિધા જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. PI દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને વલસાડ સિટી પોલીસ મથક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ ગેસ એજન્સીઓના સંચાલકો અને CNG પમ્પના માલિકો હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ વિતરણ અને CNG પમ્પ પર થતી કામગીરીમાં સુરક્ષાના માપદંડો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને સલામતીના અભાવે થતી દુર્ઘટનાઓને રોકવા માટે પોલીસે આ પહેલ કરી છે. PI દિનેશ પરમારે સંચાલકોને કડક સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, ગેસ રિફિલિંગ અને પરિવહન દરમિયાન તમામ સુરક્ષા સાધનો કાર્યરત હોવા જોઈએ. ખાસ કરીને, તમામ ગેસ એજન્સીઓ અને CNG પમ્પ પર હાઈ-ડેફિનેશન CCTV કેમેરા ચાલુ રાખવા ફરજિયાત છે. અગ્નિશમન ઉપકરણોની નિયમિત તપાસ કરવી અને સ્ટાફને તેની તાલીમ આપવી પણ સૂચવવામાં આવ્યું હતું. પમ્પ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો. શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનધિકૃત વ્યક્તિઓ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ હતી. PI પરમારે સંચાલકોને ખાતરી આપી હતી કે તેમની મુંઝવણોના નિરાકરણ માટે પૂરતો સહયોગ મળશે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

26 C