ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત DIA ભવન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી (દહેજ ઈકાઈ) દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વર પટેલ તેમજ અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ અને ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર, DIA પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ, બળદેવ આહિર, દહેજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા અને દીપક પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો (MSME) ને નડતી વિવિધ સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મંચ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સહભાગીઓએ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રીગણેશ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.ચૂંટણીના જંગની સત્તાવાર શરૂઆત થતા જ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંધવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ચૂંટણીના ઢોલ-નગારાના ગડગડાટ સાથે તેઓ ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારોએ પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 8ની જનતાની પાયાની સમસ્યાઓને વાચા આપવા માટે રણમેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના શાસનથી ત્રસ્ત થયેલા લોકોને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોર્પોરેશનના બાળકો માટે પ્રાઈવેટ જેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવામાં આવશે. ઉપરાંત જનતાના આરોગ્યને પ્રાધાન્ય આપીને નાના ક્લિનિકો સંપૂર્ણપણે ફ્રી કરી આપવાનું વચન પણ તેમણે આપ્યું હતું. રોડ-રસ્તા અને અન્ય માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાની સાથે જનતાની વચ્ચે રહીને તમામ પ્રશ્નોના નિકાલની ખાતરી તેમણે આપી હતી. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે જનતાના પાયાના પ્રશ્નો અને પાયાની સવલતો પૂરી કરવા માટે તેઓ કટિબદ્ધ છે. છેલ્લા સમયમાં કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે આવ્યા છે અને તેના કારણે જે આમ જનતાને ભોગ બનવું પડ્યું છે, તે પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી તેમના માટે એક યુદ્ધ સમાન છે. જે રીતે કોર્પોરેશનમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે તેની સામે લડવા માટે યુદ્ધના મેદાનની જેમ જ રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને લોકોના અધિકારો માટે તેઓ ઘોડા સાથે ચૂંટણીના જંગમાં જોડાયા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કમર કસી છે. વોર્ડ નંબર 4 માંથી ગુજરાત પ્રવક્તા અને વિધાનસભા 68 ના અધ્યક્ષ રાહુલ ભુવા દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. રાહુલ ભુવાએ કોઈપણ પ્રકારના ભપકા વિના અત્યંત સાદગીપૂર્વક પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. તેમની સાથે આ જ વોર્ડમાંથી હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમણે ઉમેદવારોના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ભુવાએ ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી જનસેવાના કાર્યો સાથે જોડાયેલા છે અને વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે મતદારોને પારદર્શક અને જવાબદાર શાસન આપવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટી આ વખતે સ્વચ્છ રાજકારણ અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે. રાજકોટમાં એક તરફ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવાની પરંપરા જોવા મળી, તો બીજી તરફ સાદગી સાથે જનસંપર્ક પર ભાર મૂકતા ઉમેદવારો પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે તેવું જણાઈ રહ્યું છે. તમામ પક્ષો અત્યારે પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને નવા વિસ્તારોમાં પગપેસારો કરવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ આ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ 8 બેઠકોમાં નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા, જૂની ધરી, ધાણિત્રા અને કાકણપુરનો સમાવેશ થાય છે. પક્ષ તરફથી નામો નક્કી થયા બાદ, તમામ ઉમેદવારોએ ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.
13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મહાનિર્દેશક દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ' અંતર્ગત પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડે 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી વિરુદ્ધ વર્ષ 2013માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC કલમ 406, 420)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે મુખ્ય આરોપી હતો અને છેલ્લા 13 વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ IG વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના મુજબ, પેરોલ ફ્લો સ્ક્વોડના PSI બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી જેસાભાઈ રબારીને કસ્ટડીમાં લીધો હતો. પંચમહાલ પોલીસે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 13 વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનાના આરોપીને પકડવા બદલ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યોની સમીક્ષા અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાઓને કરવામાં આવી હતી.સભામાં શહેરના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આગામી બે માસમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામો અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ, વહીવટી પારદર્શિતાના મુદ્દે હિસાબોમાં જોવા મળતી વિસંગતતા અને પેન્ડિંગ ઓડિટ બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા . તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે વોકળા સફાઈ અને ઝર્ઝરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જોકે ચર્ચા દરમિયાન પક્ષ વિપક્ષ સભ્યો વચ્ચેના વાકયુદ્ધને કારણે બોર્ડની ગરિમા જાળવવા બાબતે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું.બોર્ડમાં શહેરના વિકાસકામો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિપક્ષ દ્વારા જનતાની સુરક્ષા માટે મુકવામાં આવેલી અકસ્માત વીમાની દરખાસ્તને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બોર્ડની ગરિમા અને કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો મુદ્દો સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રવીણભાઈ વાઘેલા દરેક સામાન્ય સભામાં બોર્ડની ગરિમા જાળવતા નથી અને અધ્યક્ષની મંજૂરી વગર વારંવાર વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે. વિપક્ષે જણાવ્યું કે જ્યારે જનહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આવી દખલગીરીથી મૂળ મુદ્દાઓ ભટકી જાય છે. બીજી તરફ, શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા કહ્યું હતું કે, પ્રવીણભાઈએ તેમના વોર્ડની સાચી માહિતી આપવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વિગતો રોકવા માટે મધ્યસ્થી કરી હતી. જનતા માટે સામૂહિક અકસ્માત વીમાની માંગ વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ જૂનાગઢની જનતા માટે એક મહત્વની માંગણી કરતા જણાવ્યું કે શહેરમાં ખરાબ રસ્તા, ખુલ્લા ખાડા અને ઝર્ઝરિત ઇમારતોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે નાગરિકો નિયમિત ટેક્સ ભરે છે, તેમની સુરક્ષાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તેમણે દરખાસ્ત મૂકી હતી કે મનપાની બેદરકારીને કારણે થતા અકસ્માતોમાં લોકોને આર્થિક વળતર મળી રહે તે માટે મનપાએ 'બલ્ક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ. આ પ્રકારના વીમાથી મોંઘવારીના સમયમાં ઈજાગ્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે. જોષીપુરા શોપિંગ સેન્ટરનો ઉકેલ અને રોડ-રસ્તાની કામગીરી શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે આ સભામાં જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો છે અને આગામી બે માસમાં વેપારીઓને દુકાનનો કબજો મળી જશે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાની કામગીરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં નવા રસ્તા બનાવવાનું શરૂ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા માત્ર ભાજપ કાર્યાલય પાસે જ રોડ બને છે તેવા આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું કે જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો આખો મુખ્ય માર્ગ બની રહ્યો છે, જેમાં કોઈ રાજકીય પક્ષપાત રાખવામાં આવ્યો નથી. ઓડિટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા મનપાના હિસાબોમાં મોટી વિસંગતતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લલિતભાઈ પરસાણાએ જણાવ્યું કે હાઉસ ટેક્સ અને એકાઉન્ટ શાખાના આંકડાઓમાં 20 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાનું ઓડિટ થયું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ છે. આ બાબતે નાણા વિભાગને પણ પત્ર લખીને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ વાઉચર અને રકમનો મેળ ન ખાતો હોવો તે ગંભીર બાબત છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ઝર્ઝરિત ઇમારતો આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વિપક્ષે આગ્રહ કર્યો હતો. કાળવા સહિતના મુખ્ય વોકડાઓની સફાઈ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી. તાજેતરમાં કડિયાવાડ વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મહિલાને થયેલી ઈજા અંગે મનપાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આવી જોખમી ઇમારતોના માલિકોને 5 દિવસની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે અને જો મરામત નહીં કરવામાં આવે તો મનપા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી જોખમી ભાગ ઉતારી લેવામાં આવશે. જૂનાગઢ મનપાનું આ જનરલ બોર્ડ વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અત્યંત તોફાની રહ્યું હતું. શાસકોએ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાનો દાવો કર્યો હતો, જ્યારે વિપક્ષે જનતાની સુરક્ષા અને હિસાબી પારદર્શિતાના મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. આ સમારોહમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા, પરંતુ રાજ્યપાલ હવે તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ગમે તેટલા મોટા બને તો પણ માનવતા અને ઇન્સાનિયત ન છોડવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા અને ગુરુજનોને દેવતા સમાન સન્માન આપવા પણ ટકોર કરી હતી. તેમણે વિદ્યાનો પ્રચાર કરીને દુનિયાનું ભલું કરવા અને કાર્યક્ષેત્રમાં એક સારો માણસ બનીને જવાની પ્રેરણા આપી હતી, જેથી તેમની પ્રગતિ સાર્થક બને.
હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 17મા પાટોત્સવ નિમિત્તે શુક્રવારે બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા જપાત્મક ચંડી પાઠનું આયોજન કરાયું હતું. ત્યારબાદ માતાજીની ફોટો પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ મંદિરના શિખર પર પૂજન-અર્ચન સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સુખડીનો પ્રસાદ વિતરણ કરાયો હતો.
વલસાડ જિલ્લાના પારડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા અને વર્ષ 2001થી શરૂ થયેલી વિકાસની રાજનીતિને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉમેદવારી પત્રો ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહ પૂરવાનો હતો. ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એક રીતે 'મિની વિધાનસભા' સમાન છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફી માહોલ છે અને પારડીમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2001થી જે વિકાસની યાત્રા શરૂ થઈ છે, તેને આ ચૂંટણીઓ વધુ વેગ આપશે. પરિયા, સુકેશ, ટુકવાડા અને ઉમરસાડી જેવી વિવિધ બેઠકો પરથી ભાજપના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા હતા. કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય, ત્યારે વિકાસના કામો અને લોકોની સુખાકારીના કાર્યો વધુ ઝડપથી થઈ શકે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો કેસરીયા ખેસ ધારણ કરી ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે કનુભાઈ દેસાઈના આશીર્વાદ લીધા હતા અને 'ભારત માતા કી જય'ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ આ ઘટના બની છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો છે. સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાવવા અંગે સાગર માળીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને તેમને ટિકિટ આપવાની ના પાડી હતી. લોકોની લાગણી અને આગ્રહને માન આપીને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને તેઓ 100 ટકા જીતની આશા રાખે છે. સાગર માળીએ વધુમાં કહ્યું કે પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો આ નિયમ ફક્ત કોર્પોરેટરો પૂરતો હોય, તો તે MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે જો આ નિયમ સર્વે માટે હોય, તો તેઓ આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છે.
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ 12 માં કોંગ્રેસના ઉમેદવાર અને ગુજસીટોક (GUJCTOC) ના આરોપી અલ્તાફ ખફીએ આજે પોલીસ જાપતા વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ સુરક્ષા વચ્ચે નામાંકનજામનગરના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે કોઈ ઉમેદવાર ચુસ્ત પોલીસ સુરક્ષા સાથે ફોર્મ ભરવા પહોંચ્યો હોય. અલ્તાફ ખફી હાલ ગુજસીટોક કેસમાં જેલમાં હોવાથી તેને પોલીસ પ્રોટેક્શન હેઠળ લાવવામાં આવ્યો હતો. ગંભીર ગુનાના આરોપી હોવા છતાં ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા આ બેઠક આકર્ષણનું કેન્દ્ર બની છે. વોર્ડ 12 ની પેનલ અને શક્તિપ્રદર્શનઅલ્તાફ ખફીની સાથે કોંગ્રેસની પેનલના અન્ય ઉમેદવારોએ પણ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભર્યા હતા. જેમાં 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે: આ તમામ ઉમેદવારોએ આજે ફોર્મ ભરીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું હતું. રાજકીય વિશ્લેષણવોર્ડ 12 માં ગુજસીટોકના આરોપીની એન્ટ્રીથી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારને જનતા સ્વીકારશે કે કેમ, તે હવે જોવાનું રહેશે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર વધુ તેજ બને તેવી શક્યતા છે.
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. બસ વ્યવહાર ખોરવાયો છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
સુરત શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે શાસક પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપના 17 જેટલા કોર્પોરેટરોએ સામાન્ય સભામાં એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી, અને તેમ છતાં તેઓ ફરીથી ટિકિટ મેળવવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે. સભામાં એક પણ પ્રશ્ન ના પૂછનાર ફરી ટિકિટ મેળવવા ઉત્સુક સુરત મનપામાં 2021થી 2026ની ટર્મ દરમિયાન ભાજપના 93 અને AAPના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. જનતાએ આશા રાખી હતી કે તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાની સામાન્ય સભામાં લોકોના પ્રશ્નો, વિસ્તારની સમસ્યાઓ અને શહેરના વિકાસના મુદ્દે અવાજ ઉઠાવશે. પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ નીકળી છે. પરંતુ ભાજપના 17 નગરસેવકો એવા છે જેઓ પાંચ વર્ષ સુધી માત્ર હાજરી પુરાવવા પૂરતા જ સામાન્ય સભામાં હાજર રહ્યા હતાં. જે સભામાં શહેરના કરોડોના બજેટ અને નીતિ-નિયમો નક્કી થતા હોય, ત્યાં આ કોર્પોરેટરોએ મૌન ધારણ કરી લીધું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 17 નિષ્ક્રિય સભ્યોમાં મહિલાઓની સંખ્યા 14, જ્યારે પુરુષ સભ્યો માત્ર 3 હતી. મહિલા સશક્તિકરણના યુગમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અપાયેલા આરક્ષણ પાછળનો હેતુ એ હતો કે સ્ત્રીઓ પણ વહીવટી પ્રક્રિયામાં સક્રિય ભાગ લે. પરંતુ સભામાં પ્રશ્નોત્તરીના સમયે મૌન સેવીને બેસી રહ્યા હતાં. જાણો કોણ છે જેને એક પણ સવાલ ના થયોપાલિકાના રેકોર્ડ પર પાંચ વર્ષ સુધી મૌન રહેનારા અને એક પણ સત્તાવાર પ્રશ્ન ન પૂછનારા સભ્યોમાં વૈશાલી દેવાંગ શાહ, હેમલતા, ભૂપેન્દ્ર રાવતકા, રૂપાબેન પંડ્યા, ઉષાબેન રાજેન્દ્ર પટેલ, ભારતીબેન સતીષ વાઘેલા, ડિમ્પલ ચેતનભાઈ કાપડીયા, ઉર્મિલાબેન ત્રિપાઠી, હીના કણસાગરા, કવિતા એનાગુંદલા, કાન્તાબેન વાકોડીકર, નિરાલી રાજપૂત, શશીબેન ત્રિપાઠી, વૈશાલી રાજેન્દ્રભાઈ પાટીલ, રાજકુંવર રાઠોડ, રીના રાજપૂત, કનુ પટેલ, હસમુખ શંકરભાઈ નાયકા, ચીમન પટેલ છે. નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએક તરફ જ્યારે નિષ્ઠાવાન કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે પાયાનું કામ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની નિષ્ક્રિયતા છતાં ફરીથી ટિકિટ મેળવવાની લાલસાએ ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જન્માવી છે. રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક વિશે પણ બોલ્યા નથી!સામાન્ય સભામાં ઝીરો અવર્સ બાદ જ્યારે અડધો કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે, ત્યારે શહેરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક અંગે રજૂઆત કરવાની હોય છે. આ 17 સભ્યોએ પોતાના વિસ્તારની નાની સમસ્યા અંગે પણ અવાજ ઉઠાવ્યો નથી.
ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજ્ય સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લીધો છે. ડ્રગ્સના ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT AI’ (Narcotics Analysis RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તપાસ બનશે વધુ વૈજ્ઞાનિક, સજાનો દર વધશેઘણી વખત જટિલ NDPS (નશાબંધી) કેસોમાં મજબૂત પુરાવા હોવા છતાં નાની પ્રક્રિયાત્મક ખામીઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી જતા હોય છે. ‘NARIT AI’ નો મુખ્ય હેતુ આવી ખામીઓને દૂર કરી તપાસને વધુ વૈજ્ઞાનિક અને પુરાવા-લક્ષી બનાવવાનો છે, જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય (Conviction Rate વધારી શકાય). કેવી રીતે કામ કરે છે ‘NARIT AI’?રિયલ-ટાઈમ વિશ્લેષણ: તપાસ અધિકારી જેવી FIR અપલોડ કરશે, કે તરત જ આ સિસ્ટમ કેસનું ઊંડું વિશ્લેષણ કરશે.માર્ગદર્શન: આ ટૂલ કેસની મજબૂતી અને નબળાઈઓ દર્શાવશે અને આગળ કયા કાનૂની પગલાં લેવા જોઈએ તેનું રિપોર્ટ સ્વરૂપે સૂચન આપશે.ઐતિહાસિક ચુકાદાઓનો ડેટા: આ એપ્લિકેશન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હજારો ચુકાદાઓ તેમજ NDPS, BNS અને BNSS જેવા કાયદાઓના ડેટાબેઝ પર આધારિત છે, જેનાથી તપાસ અધિકારીને તૈયાર કાનૂની સંદર્ભો મળી રહેશે.ચોકસાઈ: આ ટૂલ ઓપન ઇન્ટરનેટ પર નિર્ભર ન હોવાથી તેમાં ભૂલો (Hallucinations) થવાની શક્યતા નહિવત છે. પશ્ચિમ રેલવે પોલીસ અને AI સ્ટાર્ટઅપનું સંયુક્ત સાહસઆ મહત્વપૂર્ણ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલને આખરી ઓપ અપાયો છે, જેમાં વડોદરા રેલવે SP અભય સોનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદનઆ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા કટિબદ્ધ છે. ટેક્નોલોજીના માધ્યમથી હવે તપાસ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સના સોદાગરો સામે કાયદાનો ગાળિયો વધુ કડક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘NARIT AI’ ના આગમનથી ગુજરાત પોલીસ હવે હાઈટેક બનીને ડ્રગ માફિયાઓ સામે મોરચો માંડશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારો એવા છે કે જેઓ નગરપાલિકામાં પણ હતા. જેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા અને જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, એમના પત્તા કપાયા છે. એમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનના પણ આ મહાનગરપાલિકા ચૂંટણીમાં પત્તા કપાયા છે.
વડોદરા શહેરમાં અવાર નવાર ભારદારી વાહનોથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં શહેરના દુમાડ ચોકડી બ્રિજ નીચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ભારદાર વાહનને લગ્ન પ્રસંગે જતા દંપતિને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભારદારી વાહને અડફેટે લેતાં પત્નીની સામે પતિનું મોત મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાસણા-આમોદ વિસ્તારના વતની ગણપતભાઈ મોહનભાઈ પાટણવાડિયા પોતાની પત્ની સાથે આસોજ (લગ્ન પ્રસંગ)માં હાજરી આપવા વડોદરા આવી રહ્યા હતા. દુમાડ ચોકડી પાસે બ્રિજ નીચે ભારદાર વાહને અડફેટે લેતા ગણપતભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની બાજુમાં ફેંકાઈ જતા આબાદ બચાવ થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોઆ ઘટનાની જાણ થતા જે સમા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સમા પોલીસે ફ્યુલ ભરેલ ભારદારી વાહન ચાલકને ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવે છે. આ અકસ્માતમાં મૃતકને હાલમાં સયાજી હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર ‘અશાંત ધારા’ હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા રહીશોએ ગત મોડી રાત્રે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો કરી ન્યાયની માંગ કરી હતી. ‘રામ ધૂન’ બોલાવીને સ્થાનિકોએ વિરોધ કર્યોસ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને અન્ય રહીશોનો મોટી સંખ્યામાં મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યો હતો. રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને ‘રામ ધૂન’ બોલાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 'મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે'રહીશોએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેમની મુખ્ય માંગ છે કે આ મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 'અશાંતધારો લાગુ હોવા છતાં ફલેટ વેંચ્યો'આ અંગે સ્થાનિક આગેવાન પ્રજ્ઞા મહેરાએ જણાવ્યું હતું કે,અમારી માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંતધારો લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી. અમે આજે વિશ્વ હિન્દુ પરિષદને સાથે રાખી બધી જગ્યા પર ફરિયાદ કરીએ છીએ. શરૂઆત પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસ અને અત્યારે અમે અહિયાં મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ. 'જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું'મહેરાએ વધુમાં કહ્યું કે, અમારો એક જ વિરોધ છે કે આ જગ્યા પર હિન્દુ અને મુસલમાન ભાગીદારી થઈને દસ્તાવેજ કર્યો છે તો તે રદ કરવો જરૂરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ આંદોલન અને ધરણા પણ કરીશું. કોર્પોરેટરના ઘર આગળ દોઢ કલાક સુધી રાહ જોઈ અને અહીંયા રામધુન પણ કરી છે, તેઓ ઘરે ન હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું.
ટંકારાના લજાઈ ગામ નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલી પત્ની છોડી જવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ મૃતદેહને લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિરથી આગળ ડેમ પાસે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના દીકરાએ પોલીસને કરી હતી. માહિતી મળતા જ ટંકારા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતક મહિલાના દીકરાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતક મહિલાના દીકરા સાહિલ સંજયભાઈ ભોજવીયા (ઉંમર ૧૭, રહે. જોગણીનગર, શનાળા, હાલ લજાઈ) એ તેના પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (રહે. લજાઈ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સંજયભાઈએ શકુબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. રાત્રિના સમયે સંજયભાઈ અને શકુબેન વચ્ચે સંજયભાઈની પહેલી પત્ની ગંગાબેન બાબતે બોલાચાલી થઈ હતી. સંજયભાઈએ શકુબેનને કહ્યું હતું કે, તારા કારણે મારી પહેલી પત્ની મારા છોકરાઓ અને મને છોડીને જતી રહી છે. આ ઝઘડા દરમિયાન સંજયભાઈએ શકુબેનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો, જેના કારણે વધુ પડતા રક્તસ્ત્રાવથી તેમનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે સવારે સંજયભાઈએ દીકરા સાહિલને જણાવ્યું હતું કે તેણે શકુબેનની હત્યા કરી છે અને મૃતદેહનો નિકાલ કરવા જવાનું છે. જો સાહિલ નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સાહિલ તેના પિતા સાથે ગયો ન હતો. સંજયભાઈ એકલા જ રીક્ષામાં મૃતદેહ લઈ ગયા હતા. સાહિલ પાછળ ગયો ત્યારે તેણે જોયું કે તેના પિતાએ મૃતદેહને ભીમનાથ મંદિરથી આગળ ડેમ સામે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો.
વડોદરા પાસથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આજે (10 એપ્રિલ) વહેલી સવારે કરજણના હલદરવા ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી GJ16DS3079 નંબરની આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. બુકડો કારના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યો અકસ્માતની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં ડ્રાઈવર અને બે મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કરજણ ફાયરની ટીમે ડ્રાઇવરની બાજુમાં બેઠેલ અને ગંભીર રીતે ફસાયેલા મૃતકને આધુનિક હાઈડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ગાડીના પતરા કાપીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતાંઆ ઘટનામાં મોતને ભેંટેલા યુવકનું નામ આકાશ અનિલભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેના માથાના ભાગે ગંભીર ઈજાના કારણે માસના લોચા પણ બહાર નીકળી ગયાં હતાં. આ દૃશ્યો જોનારાને પણ કંપારી છુટી ગઈ હતી. હાલ સાવલી આઉટ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની જામનગરમાં લોકભોગ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જામનગરની જનતા માટે ભવ્ય લોકડાયરો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાકારોનું પ્રદર્શનજન્મદિવસ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો સાઈરામ દવે, રાજભા ગઢવી, વિપુલ મહેતા અને દેવાંગી પટેલે પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અનંત અંબાણીના જીવન અને સેવાકીય કાર્યો પર તૈયાર કરવામાં આવેલું ખાસ ગીત હતું, જેને હાજર જનમેદનીએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. જનસેવા અને કરુણાનો સંદેશઅનંત અંબાણીની ઈચ્છા મુજબ, આ ઉજવણી માત્ર ધાર્મિક સ્થળો સુધી મર્યાદિત ન રાખતા સામાન્ય લોકોની વચ્ચે કરવામાં આવી હતી. શહેરના નાગરિકો માટે ‘ધૂમાડાબંધ’ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓએ અનંત અંબાણીના જીવદયા અને લોકસેવાના કાર્યોને બિરદાવી તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટનું નિવેદનઆ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અનંત અંબાણીમાં ગરીબો અને અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા છે. તેમનો સ્વભાવ કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો નહીં, પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જામનગરની માટી અને રિફાઇનરી પ્રત્યે તેમને વિશેષ લગાવ અને ગૌરવ છે. વનતારા જેવા સેવાકીય પ્રકલ્પો દ્વારા તેઓ સતત પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશની કૃપા તેમના પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના છે. ડાયરા અને મહાપ્રસાદના આયોજનની અન્ય તસવીરો…
જૂનાગઢમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો અને ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વિસાવદર તાલુકાના પીરવડ ગામ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક શખ્સને ઘાતક પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે ઝડપી લીધો છે. મામા દેવના મંદિર પાસે શંકાસ્પદ રીતે ફરતા સુરેશ હુદડ નામના શખ્સની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેણે પેન્ટના નેફામાં છુપાવીને હથિયાર રાખ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ પણ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે, વિસાવદરના પીરવડનો સુરેશ માણસુરભાઈ હુદડ હથિયાર સાથે ગામથી શોભાવડલા લશ્કર રોડ પર આવેલા મામા દેવના મંદિર પાસે કોઈની રાહ જોઈ રહ્યો છે અથવા તો શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો છે. બાતમી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે સિવિલ ડ્રેસમાં ઓપરેશન ગોઠવ્યું હતું. પોલીસની ટુકડી જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુરેશ ત્યાં હાજર હતો. અચાનક આવેલી પોલીસને જોઈ તે ભાગવાની કોશિશ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. જ્યારે તેની અંગઝડતી લેવામાં આવી ત્યારે તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે ₹20,000 ની કિંમતની પિસ્તોલ અને કાર્તૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને સુરેન્દ્રનગરના કિશન ગઢવી નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે કિશન ગઢવીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ હથિયાર કોઈ મોટી વારદાતને અંજામ આપવા માટે લાવવામાં આવ્યું હતું કે માત્ર રોફ જમાવવા, તે દિશામાં હવે વિસાવદર પોલીસ અને એસ.ઓ.જી. સંયુક્ત તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ, બાલુભાઈ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર વિશાલભાઈ ડાંગરે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિસાવદર પંથકમાં ધોળા દિવસે હથિયાર સાથે શખ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે, સાથે જ પોલીસે ગુનેગારોને કડક મેસેજ આપ્યો છે કે જૂનાગઢમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. જેને લઈને આજે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. અટલાદરા વિસ્તારમાં રહેતા સુધાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, અમે અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહીએ છીએ. છેલ્લા 15 વર્ષથી અહીં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. તમે પોતે જોઈ શકો છો કે, આ પાણી કેટલું ગંદુ અને ડહોળું છે. ક્યારેક તો આનાથી પણ ખરાબ, એકદમ કાળું પાણી આવે છે. અમે કેટલીય વાર અમારા વિસ્તારના કોર્પોરેટરને ફોન કર્યા છે, અનેક ફરિયાદો આપી છે. પણ જ્યારે પણ ફરિયાદ કરીએ, ત્યારે તેઓ ટાંકી પર કામ કરતા મજૂરોને મોકલી દે છે. આ લોકો આવે છે, ખાલી પાણી ચેક કરે છે, બોટલ ભરીને લઈ જાય છે અને બસ, વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કોર્પોરેટર અહીં ડોકાયું પણ નથી. જો આ પાણી તેઓ પી શકતા હોય, તો જ અમે આ પાણી પી શકીએ. સામાન્ય જનતા આવું ગંદુ પાણી કેવી રીતે પીવે? મેં હમણાં જ અઠવાડિયા પહેલા અમારી ટાંકી સાફ કરાવી, તમે માનશો નહીં એટલો બધો કચરો એમાંથી નીકળ્યો છે. અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. જો આ રીતે જ ગંદુ પાણી આવવાનું હોય, તો આ પાઇપલાઇન જ તોડી નાખો, અમારે આવું પાણી જોઈતું જ નથી. અમે બીજે ક્યાંકથી પાણી ભરી લાવીશું. પણ પછી કોઈએ અમારી પાસે વેરો માંગવા આવવું નહીં. અને ખાસ કરીને, આ ચૂંટણીઓમાં કોઈ પણ કોર્પોરેટરે કોઠી ફળિયામાં વોટ માંગવા આવવાની હિંમત કરવી નહીં. તેઓએ કહ્યું કે, જો તમે અમારી પાયાની જરૂરિયાત પૂરી નથી કરી શકતા, તો મોટા-મોટા વાયદાઓનો કોઈ અર્થ નથી. તમે આખા અટલાદરા ગામમાં પૂછી જુઓ, અમારા ફળિયાની હાલત 15 વર્ષથી આવી જ છે. જો અઠવાડિયામાં આનો નિકાલ નહીં આવે, તો અમે કોઈ પણ જાતનો ટેક્સ ભરીશું નહીં અને વોટ પણ આપીશું નહીં. અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં રહેતા અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો માને છે કે ચોમાસામાં પાણીની સમસ્યા હોય, પણ અહીં તો શિયાળો હોય કે ભર ઉનાળો અમે ગંદા પાણીનો જ સામનો કરીએ છીએ. ઉનાળામાં પણ નળમાં ગટરનું કાળું અને ગંદુ પાણી આવે છે. અમારે શું આ પાણી પીવાનું? આ વિસ્તારમાં લાઇન નાખ્યાને 15 વર્ષ થઈ ગયા છે, પણ સમસ્યા કાયમની છે. સવારે અડધો કલાક પાણી આવે તો એમાં પણ પહેલા અડધો કલાક ગટરનું જ પાણી હોય છે. પ્રેશર પણ બિલકુલ હોતું નથી. અમે કેટલીય વાર ફરિયાદો કરી છે, પણ કોઈ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેમના ઘરે સગવડ છે તેઓ બહારથી પાણી ખરીદી લાવે છે અથવા દૂરથી ભરી લાવે છે. પણ જે લોકો મજૂરી કામ કરવા જાય છે, જેમના ઘરના પુરુષો સવારથી કામે નીકળી જાય છે, તેમને પાણી કોણ લાવી આપે? આ ખૂબ જ મોટી મુશ્કેલી છે. કોર્પોરેટરોએ તો અમારું ‘કોઠી ફળિયું’ જોયું જ નથી. એમને તો ખબર પણ નહીં હોય કે બિલ ગામમાં કોઠી ફળિયું ક્યાં આવ્યું છે. વોટ લેવા માટે બધા આવશે, પણ પાછળથી કોઈ જોવા આવતું નથી. અમે આ વખતે મક્કમ છીએ કે જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો અમે કોઈને ફળિયામાં પેસવા પણ નહીં દઈએ. જો અમને પાયાની જરૂરિયાત જેવું શુદ્ધ પાણી જ ન મળતું હોય, તો વોટ આપવાનો શું અર્થ? અમને નવી પાણીની લાઇન જોઈએ છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે. આજે મને સ્થાનિકોનો ફોન આવ્યો ત્યારે હું અહીં પહોંચ્યો છું. લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. અત્યારે શાસક પક્ષ ભાજપના લોકો સત્તામાં છે. મારે એમને પૂછવું છે કે શું તમે પોતે આવું ગંદુ પાણી પી શકો? જો તમે પીવો તો જ તમને લોકોની વેદનાની ખબર પડે. આજે 'વિશ્વ જળ સંસાધન દિવસ' છે, અને આવા દિવસે પણ કોર્પોરેશન અને સત્તાધીશો લોકોને ગંદુ પાણી પીવડાવી રહ્યા છે. હું શાસક પક્ષ અને કોર્પોરેશનને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં જનતા તમને આનો જવાબ આપશે. આ પાણી એટલું ગંદુ છે કે કોઈ પી શકે તેમ નથી. જો સત્તાધીશોમાં હિંમત હોય તો તેઓ આ પાણી પીને બતાવે, ત્યારે જ તેમને વાસ્તવિકતા સમજાશે.
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના 13 વોર્ડની તમામ 52 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જોકે, પ્રદેશ કમિટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક સ્તરે સંભવિત ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. નવસારી શહેરના ઘાંચી સમાજની વાડી ખાતે સવારથી જ ભાજપના દાવેદારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા શિસ્તબદ્ધ રીતે દરેક વોર્ડની ત્રણ-ત્રણ પેનલના સંભવિત ઉમેદવારોને બોલાવી તેમના ફોર્મ તૈયાર કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ગતિવિધિ દર્શાવે છે કે પક્ષે સસ્પેન્સ જાળવી રાખીને પણ આંતરિક રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉમેદવારી ફોર્મમાં કોઈપણ પ્રકારની કાયદાકીય ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભાજપ સમર્પિત 15થી વધુ વકીલોની એક વિશેષ ટીમ મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા ઉમેદવારોના દસ્તાવેજો અને એફિડેવિટની ઝીણવટભરી તપાસ કરીને ફોર્મ ભરવાની કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં ઉમેદવારોના નામ અંગે ભારે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોર બાદ પ્રદેશ ભાજપ દ્વારા 13 વોર્ડના તમામ 52 ઉમેદવારોના અંતિમ લિસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાં સુધી કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 માટે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી ભારે નીરસતા જોવા મળી છે. ભાજપ દ્વારા ગુરુવાર સાંજ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન થતા તેની સીધી અસર ફોર્મ ભરવાની પ્રક્રિયા પર પડી છે. જિલ્લાની કુલ 266 બેઠકો પર અત્યાર સુધીમાં માત્ર જૂજ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામો પર હજુ પણ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. આ કારણે વાપી મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી માત્ર 6 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે માત્ર 12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં અત્યાર સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની યાદીની રાહ જોઈને 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. કોંગ્રેસે વાપી મહાનગરપાલિકા માટે 32 ઉમેદવારોના નામ ફાઇનલ કરી લીધા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 2 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. શુક્રવારે કોંગ્રેસ વધુ 30 ઉમેદવારોના ફોર્મ ભરાવે તેવી શક્યતા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈએ દાવો કર્યો છે કે તેમની 20 ઉમેદવારોની યાદી તૈયાર છે અને બાકી રહેલા 18 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર ગુરુવાર સુધીમાં માત્ર 33 ફોર્મ ભરાયા છે. વલસાડમાં 32 બેઠક પર 4 ઉમેદવાર, ધરમપુરમાં 24 બેઠક પર 3 ઉમેદવાર, કપરાડામાં 22 બેઠક પર 5 ઉમેદવાર, નાનાપોંઢામાં 20 બેઠક પર 12 ઉમેદવાર, ઉમરગામમાં 30 બેઠક પર 6 ઉમેદવાર અને પારડીમાં 22 બેઠક પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ચોટીલા શહેરની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી વિનિયન કોલેજ ખાતે ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ માટે પ્રથમ ચૂંટણીલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-૧, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસર માટે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર, ચોટીલા, એચ. ટી. મકવાણા હાજર રહ્યા હતા. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મકવાણાએ મતદાન પ્રક્રિયા, ઇવીએમ મશીનોના ઉપયોગ, મતદારની ઓળખ પ્રક્રિયા, સીલિંગ પ્રક્રિયા અને મતદાન દરમિયાન પાલન કરવાના નિયમો અંગે વિગતવાર માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન મતદાન મથક પર ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. અધિકારીઓને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને યોગ્ય રીતે હલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને સરળતા રહે તે માટેની આવશ્યક બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ પર સાઈ સ્પોર્ટ્સ નામની દુકાનની સામે રુપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભીડભાડવાળા આ રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારી એટલી ઉગ્ર હતી કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કર્યાં હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.સમગ્ર મુદ્દે પોલીસે બંન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. લાકડાના ફટકા, પથ્થર અને બૂટ-ચપલ વરસાવ્યાવાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા લઈને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. માત્ર લાકડીઓ જ નહીં, પણ રસ્તા પર પડેલા પથ્થરો અને ચપ્પલોથી પણ એકબીજાને માર મારી રહ્યા હતા. આ હિંસક અથડામણને કારણે હનીપાર્ક રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મારામારીમાં કેટલાકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 15 હજાર રૂપિયા માટે ખેલાયો જંગપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મારામારી પાછળનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર હતો. આરોપી કાર્તિક ઓમ પ્રકાશ પ્રજાપતિને ધ્રુવ યાદવ પાસેથી 15,000 રૂપિયા લેવાના નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શુક્રવારે આ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. સામાન્ય રકમની લેતીદેતીમાં બંને પક્ષોએ હિંસક સ્વરૂપ ધારણ કરી રસ્તા પર જંગના મેદાન જેવી સ્થિતિ સર્જી દીધી હતી. બંન્ને પક્ષ સામસામે ફરિયાદ નોંધાવીઆ ઘટના બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષોને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ ધ્રુવ યાદવે નોંધાવી છે, જેમાં કાર્તિક પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, ઓમ પ્રકાશ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા ધ્રુવ યાદવ અને સની આહીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTV અને વીડિયોના આધારે તપાસ તેજઅડાજણ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોને પુરાવા તરીકે કબજે કર્યાં છે. વીડિયોમાં દેખાતા તમામ શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાહેર રોડ પર આ પ્રકારે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ ગુંડાગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. જો કે હવે ભાવનાની એક ડાયરી મળી છે. જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખી હતી. જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વિમલ ઘઉમાં મૂકવાની દવા રામનગરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન પિતાનું BP હાઇ થઈ જાય છેપોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. ઘર કંકાસ અને ખીરાના એંગલથી તપાસઆ અંગે ચાંદખેડા PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, વિસેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરનો અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે. ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદન લેવામાં આવ્યા હતા. એના ઉપરથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે તે બન્ને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યોમાં બાળકીઓના દાદા ગૌરીશંકરજી અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે.
તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતીએસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈપોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતુંપોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય સંકલ્પ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના માર્ગો 'પરિવર્તન'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા, ભીડભંજન મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભઆ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પાસે આવેલા પવિત્ર ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો, મહાદેવના આશીર્વાદ લઈ, વિજયના સંકલ્પ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો, ઉમેદવાર ના ચાહકો તથા કાર્યકરો વાજતે-ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ ભર્યા હતા, પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરની જનતાને પરિવર્તન માટે અપીલ કરવામાં આવી હતી, પદયાત્રામાં આવો સૌ સાથે મળી ભાવનગરમાં પરિવર્તન લાવીએ તથા પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ સૂત્રોચ્ચાર કર્યા હતા, ઢોલ-નગારા અને વિજયના ઉત્સાહ સાથે પદયાત્રા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા, કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ પર પસંદગી કરશે કે નહીં તે જોવાનું રહ્યું....? કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ
ધ્રાંગધ્રામાં 54,200નો ગાંજો ઝડપાયો:SOG સુરેન્દ્રનગરે એક આરોપીને પકડ્યો, બીજો ફરાર
સુરેન્દ્રનગર SOG ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રાના અલ મદીના મસ્જિદ પાસે, ખાટકી વાસ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબી (ઉંમર 38)ના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી યાસીનભાઈની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિત SOGના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલાએ પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદ કે આંતરિક ખેંચતાણ હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત પ્રદેશ નેતૃત્વની એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે અને ગમે તે ઘડીએ નામો જાહેર થઈ શકે છે, પરંતુ પક્ષનું સંગઠન અત્યારથી જ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે 'વિજય વિશ્વાસ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂરી સૂચનાઓ આપી હતી. હજુ ઉમેદવારોના નામ બાકી હોવા છતાં આ પ્રકારે તૈયારીઓ કરવી એ ભાજપની કેડર-બેઝ્ડ કાર્યપદ્ધતિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. વિરેન્દ્રસિંહ ઝાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ટિકિટ ફાળવણીમાં થઈ રહેલા વિલંબ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નામો નક્કી કરવામાં કોઈ વિવાદ નથી. પ્રદેશ નેતૃત્વ દ્વારા દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. કાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ મહાપાલિકા અને જિલ્લાના નામો પણ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ટિકિટ ફાળવણીમાં ધારાસભ્યો કે સંસદ સભ્યોના કોઈ વ્યક્તિગત દબદબાની વાત પાયાવિહોણી છે. તમામ નિર્ણયો પક્ષના વરિષ્ઠ આગેવાનોના સંકલન અને કાર્યકરોના અભિપ્રાય મુજબ જ લેવામાં આવે છે. આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ 18 વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. અહીં સૌ પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે. ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન 'કમળ' મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિ પ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શક્યતા છે.
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે, આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. પોર બેઠકના નયના પરમાર પ્રબળ દાવેદાર હતા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ, થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓએ એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યે સપોર્ટ પણ આપ્યો હતો. જો કે, અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કારવ્યું હોવાની ચર્ચા છે. ફેસબુક ઉપર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાયા બાદ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી, આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાનો સંકલ્પ સાથે, આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો. ઇન્સ્ટા ગર્લ અંકિત પરમાર અને નયના પરમારની લડાઈ રીલ બનશે કે રિયલ? તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ પણ છે. તેઓ રીલ લાઈફમાં ખુબ જ સક્રિય છે, ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ એની રહે છે કે રિયલ બની રહે છે તે જોવું રહ્યું. જો કે એક જૂથ એમ પણ માની રહ્યું છે કે, ભાજપ નયના પરમાર અને રાજેશ પરમારને મનાવવાની પણ કોશિશ કરશે. અંકિતા પરમાર હાલમાં જ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા છે પ્રદેશ સંગઠનનું તાજેતરમાં આજ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સંસદ ડો. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજ્યમાં પોતાની નવી ટીમ નક્કી કરવામાં આવી હતી, ત્યારે તેમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, ભાજપે અંકિત પરમારને તાલુકા પંચાયતના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.
ભરૂચમાં 6 ફૂટનો ધામણ સાપ ઝડપાયો:આશુતોષ-1 વિસ્તારના મકાનમાંથી રેસ્ક્યુ કરાયો
ભરૂચ શહેરના આશુતોષ-1 વિસ્તારમાં એક મકાનમાંથી આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઝડપાયો હતો. નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મકાનમાં સાપ દેખાતા મકાન માલિકો અને આસપાસના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતીપૂર્વક ધામણ સાપને પકડી લીધો હતો. સાપને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.
દ્વારકાના ડો. કાનભાઈ આહીરનો ગૌ-સેવા સંકલ્પ:હોટલની કમાણીના 25% ગૌ-માતાના ઘાસચારા માટે સમર્પિત
દ્વારકામાં નોયજી હોટલના માલિક ડો. કાનભાઈ આહીરે ગૌ-સેવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પોતાની હોટલની કુલ કમાણીના ૨૫ ટકા ગૌ-માતાના ઘાસચારા અને સેવામાં વાપરવાની જાહેરાત કરી છે. આ પહેલ દ્વારકાના રાવળા તળાવ કાંઠે શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે વેપારીઓ નફા-નુકસાનના ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, ત્યારે ડો. કાનભાઈએ આર્થિક પ્રવૃત્તિને ગૌ-સેવા સાથે જોડી છે. આ નિર્ણય દ્વારા તેમણે પોતાની આજીવિકામાંથી થતી કમાણીનો ચોથો ભાગ ગૌ-માતાને સમર્પિત કર્યો છે. ભગવાન દ્વારકાધીશની નગરીમાં લેવાયેલો આ નિર્ણય સમગ્ર હાલાર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. શ્રીકૃષ્ણની ભૂમિમાં એક આહીર દ્વારા ગૌ-સેવા માટે લેવાયેલું આ પગલું વૈષ્ણવો અને ગૌ-પ્રેમીઓ માટે પ્રેરણાદાયક બન્યું છે. નોયજી હોટલ હવે માત્ર એક વ્યાપારી સંસ્થા ન રહેતા, સેવાના કાર્ય સાથે પણ જોડાઈ ગઈ છે. ડો. કાનભાઈએ સ્પષ્ટ કર્યું કે તેમની કમાણી પર ગૌ-માતાનો પ્રથમ હક રહેશે. આ જાહેરાત બાદ દ્વારકાના સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. વેપારી આલમમાં પણ આ એક સંદેશ પહોંચ્યો છે કે લક્ષ્મીનો ઉપયોગ પરમાર્થના કાર્યોમાં થાય તે મહત્વનું છે.
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયામાં સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુકલ (ઉ.વ. 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોતાના હાથમાં એરગન, તલવાર અને છરી જેવા હથિયારો લઈને ફોટા પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો, જેના કારણે લોકોમાં ભય અને ખોટી દહેશત ફેલાતી હતી. પોલીસે આરોપી પાસેથી મોટી એરગન – રૂ. 1000, નાની લાઇટર એરગન – રૂ. 100, ધાતુની તલવાર – 2 નંગ (રૂ. 1000), ધાતુની છરી – 1 નંગ (રૂ. 100) કુલ મુદામાલ કિંમત રૂ. 2200 નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એચ. સુવા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવદાનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશ્યલ મીડીયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને હથિયાર સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ ન કરે, નહિતર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. તા.01 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત-01, તાલુકા પંચાયત-06 અને નગરપાલિકા-04 માટે મતદાન તા.26 એપ્રિલે યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલે હાથ ધરાશે. ચૂંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 15 ચેકપોસ્ટથી જિલ્લામાં ચુસ્ત ચેકિંગ ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. દરેક ચેકપોસ્ટ પર આધુનિક સાધનો સાથે સજ્જ પોલીસ ફોર્સ તૈનાત છે. બેરિકેડિંગથી લઈ બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઈઝર સુધીની વ્યવસ્થા સાથે 24 કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હથિયારો જમા કરાવવાની ઝુંબેશ તેજ જિલ્લામાં નોંધાયેલા કુલ 433 હથિયાર પરવાનાધારકોમાંથી અત્યાર સુધીમાં 322 હથિયારો જમા લેવાયા છે, જ્યારે બાકીના હથિયારો જમા કરાવવાની કાર્યવાહી યથાવત છે. ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ઝુંબેશને ઝડપી બનાવાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ સાથે જી.આર.ડી., એસ.આર.ડી. અને હોમગાર્ડ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સાંજ અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી વધારવામાં આવી છે, જેથી કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવા પામે નહીં. 1049 લોકો સામે અટકાયતી પગલાં ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 1049 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 40 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિનજામીનલાયક વોરંટની અસરકારક અમલવારી માટે પણ પોલીસ દળ સક્રિય બન્યું છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસે 91 પ્રોહીબિશન રેઇડ હાથ ધરી છે, જ્યારે જુગાર સામે 3 રેઇડ કરવામાં આવી છે. જેમાં દેશી દારૂના 587 લિટર (રૂ.1,17,409) અને ઇંગ્લિશ દારૂની ૧૯૪ બોટલ (રૂ.73,264) સહિત કુલ રૂ.5,53,389નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત રોજ બપોરે વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદીયાએ રાજીનામું આપી દીધું હતું. આ વાતની તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પણ પુષ્ટી કરી હતી. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે. ડોક્ટર પ્રીતિની સાથે 500 કાર્યકર કોંગ્રેસમાં જોડાયાપ્રીતિ સદાદિયાની સાથે સાથે જ 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામુહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વિવાદ વચ્ચે આપે બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઊભા થતા બે ઉમેદવારોના નામ રદ કરી અન્ય બેને ટિકિટ આપવામાં આવી છે. ‘રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ’ડોક્ટર પ્રીતિ સદાદીયાએ જણાવ્યું હતું કે, હું લગભગ રાજકારણમાં છેલ્લા છ-સાત વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન, મન, ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું. પરંતુ આમ આદમી પાર્ટીએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે. આજ રોજથી કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે, તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. ‘નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે’ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સદાદિયાએ આપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાથે હું અત્યંત નિરાશ છું, મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણકે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે. જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામુ આપી રહી છું. જેની લગતા વળગતાઓ એ નોંધ લેવી. વોર્ડ નં.26ના ગત ચૂંટણી લડેલા ઉમેદવાર ડોક્ટર નીતા બલદાણીયાનું રાજીનામુંજ્યારે ડોક્ટર નીતા બલદાણીયાએ આપમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતી. પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક રાજકીય સ્થિતિ અને પાર્ટીની કાર્ય પધ્ધતિમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે મારા મૂલ્યો અને આશા ઓ સાથે મેળ ખાતી નથી. સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણયઓ લેવામાં પારદર્શિતાનો અભાવ અનુભવાયો છે. જેના કારણે કાર્યકર્તા તરીકે કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે સેવા અને ટીમવર્ક મહત્વપૂર્ણ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તે મુજબ કાર્ય કરવાની તક મળી રહી નથી. આ કારણે હું પાર્ટીમાં મારી ઉપર સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ તેમજ કાર્યકર્તા તરીકે જ પદ પરથી તત્કાલ અસરથી રાજીનામુ આપી રહી છું. વોર્ડ નંબર 2ના સહ કન્વીનર અશોક બલરનું રાજીનામુંઅશોક બલરે રાજીનામુ આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 5 ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે. જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા, તેમ છતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આપ પાર્ટી દ્વારા બીજી યાદીમાં બે નામો સુધારવાની ફરજ પડી હતી. પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જયારે વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ જાહેર કરાયા હતા. લાંચ કેસના આરોપી જિતેન્દ્ર કાછડિયાને ટિકિટ આપતા વિવાદલાંચ મામલે એસીબીના કેસમાં વિવાદિત જિતેન્દ્ર કાછડિયાને ફરીથી ટિકિટ આપવામાં આવતા પાર્ટી પાસે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. વરાછા ઝોનમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદમાં એસીબીમાં પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. આપ પાર્ટી દ્વારા આવા વિવાદિત ઉમેદવારોને ફરી મોકો અપાતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટી છોડીને ગયેલા દિનેશ કાછડિયાને ફરી ટિકિટ આપીથોડા સમય પહેલાં જ આપમાંથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને વોર્ડ નંબર-5માંથી ઉમેદવાર જાહેર કરાયા છે. અગાઉ આપ સામે જ કોંગ્રેસમાંથી લડેલા અને પછી આપમાં જોડાયેલા, હતી જતા પાછળથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને ટિકિટ અપાતા ભારે વિરોધ થઇ રહ્યો છે. ભુતકાળમાં પણ એક વિચિત્ર પ્રકરણને લઈ વિવાદમાં ફસાયા હતા. આપ પાર્ટીના ઘણાં કાર્યકરો પણ શંકાની નજરે જોઇ રહ્યા છે.
ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ:ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણના નામે યુવતીએ ₹24.40 લાખ પડાવ્યાં
અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ મિત્રતા કેળવી રોકાણ કરવા કહ્યુંશાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરીને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વ્હોટ્સએપ પર મેસેજથી સાથે વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા. બે મહિનામાં 24.40 લાખનું રોકાણ કર્યુંયુવતીએ મોકલેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપીને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો અને કોઈ જવાબ પણ મળતો નહોતો. જેથી વૃદ્ધને તેમના સાથે થયેલી ઠગાઈની જાણ થઈ હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ઇનચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ ડી.એલ. ઝેઝરીયા (નેત્રમ)ની સૂચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, જાહેર જનતાની ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, પર્સ વગેરે નેત્રમ સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી શોધીને મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં, સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં રહેતા અરજદાર જૈમિનિબેન દુદાભાઈ પતરાવાળી ચોક પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષાની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક કરીને જૈમિનિબેનનો રૂ. 4000નો સામાન ભરેલો બેગ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પરત કર્યો હતો. તેવી જ રીતે, સનફ્લાવર સ્કૂલ પાસે રહેતા અરજદાર જીતુભાઈ જવાનજી ઠાકોર પણ સનફ્લાવર સ્કૂલ પાસેથી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમનો સામાન ભરેલો બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. 'નેત્રમ' દ્વારા સીસીટીવીની મદદથી રીક્ષા અને ચાલકનો સંપર્ક કરીને તેમનો બેગ પણ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પરત કરવામાં આવ્યો હતો. આ બંને કિસ્સાઓમાં સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ કેમેરાની મદદથી પ્રશંસનીય કામગીરી કરી છે, જેનાથી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક થયું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. મોડાસા, મોહનપુર અને બાયડ પરગણા સહિત હજારો ભક્તો આ પવિત્ર અવસરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ મોડાસાના હિંમતનગર રોડ પર આવેલા દૂધેશ્વરી માતાજી મંદિરમાં સ્થિત ચામુંડા માતાજીના ધામે યોજાયો હતો. આ મંદિર, જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, તેની સ્થાપના વર્ષ 2025માં 108 કુંડી મહા યજ્ઞ અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા કરવામાં આવી હતી. અક્ષર પરિવાર યુવક મંડળ તેમજ અક્ષર પરિવાર પંચ મોડાસા, મોહનપુર અને બાયડના સહયોગથી આ પવિત્ર કાર્ય સાકાર થયું હતું. પાટોત્સવના પાવન અવસરે દૂધેશ્વરી માતાજી મંદિર સબલપુરના પૂજારી અને સમાજના ગોર રાકેશકુમાર પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞકુંડમાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. મોડાસા, મોહનપુર અને બાયડના ત્રણ પરગણાના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. નાનાથી લઈને વૃદ્ધ સુધીના શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં આરતી સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો અને જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે રાસ-ગરબા અને ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત, મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી. સેવાભાવી કાર્યકરો અને યુવક મંડળના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. ભક્તોની અખૂટ આસ્થા છે કે માં ચામુંડા માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રથમ પાટોત્સવને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ પાવન પ્રસંગે મોડાસા શહેર ભક્તિમાં તરબોળ થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં 9 એપ્રિલના રોજ દ્વિતીય વર્ષ તાલીમાર્થી બહેનોનો શુભેચ્છા પર્વ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રેમની પરબના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સરસ્વતી વંદના કરતું પ્રાર્થના નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. દ્વિતીય વર્ષના બહેનોએ તેમના બે વર્ષના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને વિદાય ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તાલીમાર્થીઓને બે વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય વિનોદિનીબેન શાહની પુણ્ય સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ અને 'હરિરસ' પુસ્તક પણ અર્પણ કરાયા હતા. આદરણીય ચંદ્રકાંતભાઈ વ્યાસે કર્મયોગ અને નિષ્ઠાપૂર્વકના શિક્ષક જીવન વિશે અનેક દ્રષ્ટાંતો દ્વારા તાલીમાર્થીઓને જીવનભરનું ભાથું પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પારસભાઈ શાહ, મંત્રી દીપકભાઈ શાહ, આચાર્ય અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને અધ્યાપક ઇન્દુબેન વસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વે તાલીમાર્થી બહેનોને તેમના ભાવિ શિક્ષક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ILSASS વાર્ષિક મહોત્સવમાં સપના વ્યાસનું પ્રેરક ઉદબોધન:'લીડરશિપથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે'
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ (ILSASS) દ્વારા તેના 17મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગરના સી.વી.એમ. મલ્ટીપર્પઝ હોલ ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે જાણીતા ફિટનેસ અને લાઈફસ્ટાઈલ કોચ સપના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સપના વ્યાસે સંસ્થાની કાર્યપ્રણાલીના વખાણ કરતા જણાવ્યું હતું કે, જેવી લીડરશિપ હોય છે તેવા જ વિદ્યાર્થીઓનું ઘડતર થતું હોય છે. તેમણે ઉમેર્યું કે આ સંસ્થાનું નેતૃત્વ અને ફેકલ્ટી પ્રેરણાદાયી હોવાથી અહીંના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહી અને તેજસ્વી જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન, વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવની અધ્યક્ષતા સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ બી. પટેલે કરી હતી. આ અવસરે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી.એન. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
નરોડા કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો:બી.એ. અને બી.કોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે આયોજન
નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા બી.એ. તથા બી.કોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી અને કારોબારી સભ્ય પૂનમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સૂત્રમાળાથી સ્વાગત કરાયું હતું. વિદાય સમારોહ દરમિયાન, સેમેસ્ટર 6 ના પાંચ વિદ્યાર્થીઓએ કોલેજમાં તેમના ત્રણ વર્ષના અનુભવો અને વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરી હતી. અંગ્રેજી વિભાગના પ્રોફેસર જગદીશભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઋણ સ્વીકાર રૂપે, જી.એસ. ભૂમિ ચૌહાણ અને એલ.આર. ખુશ્બુ કેવટના હસ્તે નરોડા કોલેજને સ્મૃતિ ભેટ તરીકે તિજોરી અર્પણ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવના ભાગરૂપે, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે, વિવિધ વિષયોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કંકુબા, જગજીવનભાઈ પટેલ, ગોરલ સુથાર, ડૉ. ગીતાબેન મહેતા, પ્રો. મયુષભાઈ પટેલ, ડૉ. રમીલાબેન ભટ્ટ અને ડૉ. રમેશભાઈ ચૌધરી શિષ્યવૃત્તિઓ એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીની બી.એ. પરીક્ષામાં સંસ્કૃત અને હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર સંજના જયસ્વાલ, કરીના રાજપૂત અને સિદ્ધાર્થ સિંહને ટ્રોફી અને કવર આપી સન્માનિત કરાયા હતા. રમતગમત વિભાગમાં, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમેલા સાત ખેલાડીઓને ટ્રોફી, ટ્રેક અને કવરથી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક વિભાગમાં, ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવનાર ધૈર્ય જોષી અને તૃતીય સ્થાન મેળવનાર રોશની મિશ્રા, તેમજ સિટી ઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રોનક મકવાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી. એન.એસ.એસ. વિભાગના બે શ્રેષ્ઠ સ્વયંસેવકોને પણ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું સંચાલન ડૉ. પારુલબેન પટેલે કર્યું હતું, જ્યારે ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રો. ધીરેન્દ્રભાઈ સુથારે કર્યું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જી.એસ. ભૂમિ ચૌહાણે કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો, ત્યારબાદ સૌએ પ્રીતિ ભોજન લીધું.
વિશ્વ હિન્દુ પરિષદ બોટાદમાં સમરસતા યાત્રા કાઢશે:શ્રી ગોકુળિયાનાથ જગ્યાએથી શરૂઆત, 10 એપ્રિલે યોજાશે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા બોટાદ શહેરમાં 'સમરસતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 10 એપ્રિલ, 2026 (શુક્રવાર) ના રોજ સવારે 9:00 કલાકે શ્રી ગોકુળિયાનાથની જગ્યા, સાળંગપુર રોડ, બોટાદથી શરૂ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતાનો ભાવ લાવવાનો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ સમસ્ત હિંદુ સમાજને આ યાત્રામાં જોડાવવા માટે અપીલ કરી છે. બજરંગ દળના કાર્યકર્તાઓને તેમના ત્રિશુલ અને બેલ્ટ સાથે બાઈક પર સવારે 9:00 કલાકે નિર્ધારિત સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ઇન્ડસ યુનિવર્સિટી, WIIA અને ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC) દ્વારા 8 એપ્રિલ, 2026ના રોજ મંડપમ્ માટી કી મહેક શીર્ષક હેઠળ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનો અને ભક્તિમય થીમ પર આધારિત હતો. તેમાં સંગીત, નૃત્ય, કાવ્ય પઠન અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વખત ભજન ક્લબિંગ વિભાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. iSAC ના વિદ્યાર્થીઓ દ્વારા આ અનોખી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત સૌને એક આધ્યાત્મિક અને યાદગાર અનુભવ પ્રાપ્ત થયો હતો.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન (DP) અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના 10 જેટલા ગામોના લોકો હવે એકજૂથ થયા છે. 9 એપ્રિલની રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જે રીતે નવી સ્કીમ દાખલ કરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આ સ્કીમ તેમના હિતમાં નથી અને તેનાથી સ્થાનિકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. કુકસ ગામે મળેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ આ સ્કીમનો કોઈ પણ ભોગે અમલ થવા દેશે નહીં. વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં રોષમહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સૂચિત વિકાસ નકશાથી શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા હજારો ખેડૂત પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિકાસના નામે આવી રહેલા હાઈવે અને ડેવલપમેન્ટ પ્લાન 2047 હેઠળ આ આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં ભારે ફ્ફડાટ અને રોષ વ્યાપ્યો છે. પોતાની માતૃ સમી જમીનો કપાતમાં જતી રોકવા માટે તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા, હેબુવા, શોભાસણ, કુકસ, લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરા અને રૂપાલ સહિતના 10 ગામોએ હવે આરપારની લડાઈ લડવા જમીન બચાવો એક્શન કમિટીની રચના કરી છે. ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્રઃ ખેડૂતો આ વિકાસ નકશાથી ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જમીન જવાથી ખેડૂતનો વિકાસ થાય કે વિનાશ? પૂર્વની પટ્ટીમાં નવા આવી રહેલા હાઈવે વચ્ચે ખેતી ઘેરાઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂર્વ વિસ્તારમાં માત્ર 2 કિલોમીટરના અંતરમાં ત્રણ મોટા રસ્તાઓનું આયોજન કરી ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્ર રચાયું છે. થરાદ-અમદાવાદ ભારતમાલા હાઈવે, મહેસાણા-ઈડર નેશનલ હાઈવે, 80 મીટરનો સૂચિત રિંગ રોડ આ પ્રોજેક્ટ્સને કારણે વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતા પરિવારો પાસે હવે જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનો આરોપમહાનગરપાલિકાએ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ફાંસો આપતાં ખેડૂત પોતાની જમીન પર ખેતી નહીં કરી શકે. સૌથી મોટો વિરોધ મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન 2047 સામે છે. આ પ્લાન મુજબ પૂર્વ વિસ્તારને સંપૂર્ણ પણે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે આવનારા સમયમાં ખેડૂત પોતાની જ જમીન પર ખેતી કે પશુપાલન કરી ન શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ નિર્ણય ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયારઆ મુદ્દે સ્થાનિક આગેવાન કિરણ ચૌધરી સહિતના લોકોએ જણાવ્યું કે, તેઓએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને કાનૂની લડત તો ચાલુ જ રહેશે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમામ 10 ગામના લોકો સંગઠિત થઈને રસ્તા પર ઉતરે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ બેઠકમાં ચૂંટણી બહિષ્કાર જેવા કડક પગલાં ભરવાની પણ ચર્ચાઓ થઈ હતી.તમામ ગ્રામજનોએ એક અવાજે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ગ્રામજનોના આ ઉગ્ર રોષ સામે તંત્ર નમતું જોખશે કે વિવાદ વધુ વકરશે.
26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ ગરમાવો વિકાસના કામોને લઈને નહીં, પરંતુ વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઈને છે. સિદ્ધેશ્વરી પાર્કથી લઈને ઓવરબ્રિજ નીચેની સોસાયટીઓ સુધી જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય સમસ્યાઓ: નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર રહીશો દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા વોર્ડ નંબર 4ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં પાયાની સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે: મહિલાઓનો રૌદ્ર અવતાર: વોટ લેવા આવશો નહીં વોર્ડ નંબર 4 માં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર રોષ છે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ડોકાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ઘરે આવે છે, પણ અત્યારે કોઈ ફોન પણ ઉપાડતું નથી. ગટરની ગંદકીથી કંટાળીને કેટલીક સોસાયટીના રહીશોએ તો પાલિકા પર ભરોસો મૂકવાને બદલે પોતે ફાળો ઉઘરાવીને ગટર લાઈન નાખવાની ફરજ પડી છે, જે પાલિકાની નિષ્ફળતા છતી કરે છે. વોર્ડ નંબર 4: આંકડાકીય વિગત અને જ્ઞાતિ સમીકરણ જનતાનો સવાલ: ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં? રહીશોનું કહેવું છે કે, તેઓ નિયમિત ઘરવેરો અને નળવેરો ભરે છે, છતાં સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે અને અંધારામાં ઝેરી જંતુઓનો ડર લાગે છે. વાળીનાથ ચોકના રહીશોએ સ્વખર્ચે બગીચો બનાવ્યો પણ ત્યાં લાઈટની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આગામી 26 એપ્રિલે વોર્ડ નંબર 4ની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શાસકોને પાઠ ભણાવશે કે કેમ, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો 'ચૂંટણી બહિષ્કાર'નો ગુંજતો સૂર નેતાઓની ઉંઘ ઉડાડી રહ્યો છે. --------- આ પણ વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. તો બીજી તરફ ભાજપનો ગઢ ગણાતો આ વોર્ડ નંબર 3 જાણે નશાખોરોનો અડ્ડો બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો જોવા મળી રહી છે. વોર્ડ નંબર 3નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
ગુજસીટોકના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જામનગર મહાનગરપાલિકા-JMCની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા દેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજદાર અલ્તાફ ખફી વતી રજૂઆત કરાઈ હતી કે, તેને પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવે. અરજદાર હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં ન હોવાથી તે જામીન માંગી શકે તેમ નથી. જામીન મળે તો પણ ત્રીજી FIRના કારણે ધરપકડ થઈ શકેવધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર વિરુદ્ધ તાજેતરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રથમ FIRમાં તેની ધરપકડ 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જેમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે બીજી FIRમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કસ્ટોડિયલ ઇન્ટેરોગેશન હેઠળ છે. જો તેને જામીન મળે તો પણ 5 એપ્રિલના રોજ તેની સામે નોંધાયેલી ત્રીજી FIRમાં તેની ધરપકડ થઈ શકે છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી આરોપીને મુક્ત કરવા અપીલ કરીતેના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આરોપીને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે મુક્ત કરી શકાય છે. હાઈકોર્ટે નીચલી અદાલતને નિર્ણય લેવા નિર્દેશ આપ્યોસુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઉપાય માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અરજદારે નીચલી અદાલતમાંથી રાહત મેળવવા માટે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતને શુક્રવારે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક ગુજસીટોક આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભર્યું હતુંકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે ,કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો અરજદાર સંબંધિત ફોરમમાં અરજી સાથે સંપર્ક કરે છે, તો સંબંધિત ફોરમ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પ્રાધાન્યપણે 10 એપ્રિલ, 2026 સુધીમાં તેના પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અન્ય એક ગુજસીટોક આરોપી અસલમ ખિલજીને પોલીસ જાપ્તા હેઠળ રિટર્નિંગ ઓફિસર પાસે લઈ જવામાં આવ્યા બાદ તેણે JMC ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘાસિયા મેદાન અને પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ રામસર સાઈટમાં વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની લાલસામાં કેટલાક કથિત ઇન્ફ્લ્યુએન્સર દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ મામલે પકડી માફી પણ મંગાવાઈ છે . આશરે ત્રણ અઠવાડિયા જૂના વાયરલ વીડિયોની તપાસ કરતા વન વિભાગને જાણવા મળ્યું હતું કે,પાંચ જેટલા ઈસમોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ડ્રોન દ્વારા શૂટિંગ કર્યું હતું અને ઘરેથી લાવેલા નોનવેજની મિજબાની માણી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે આ પાંચેય શખ્સોની શોધખોળ કરી તેમને પકડી પાડ્યા હતા. વન વિભાગની કડક પૂછપરછ અને સૂચના બાદ આ તમામ ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વન વિભાગ સમક્ષ લેખિતમાં માફી માંગી હતી કે પ્રવાસીઓને આકર્ષવા આ પ્રકારના વિડીયો તેઓ બનાવતા હતા. માંસાહાર માટેની સામગ્રી તેઓએ શિકાર કરીને ઊભી કરી કે ઘેરથી લાવ્યા તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. ડ્રોન પણ પ્રતિબંધીત હોવા છતાં બેરોકટોક ઉપયોગ કરાયાનું વીડિયોમાં દેખાય છે વનવિભાગની તપાસમાં શિકાર ન હોવાનું ખુલ્યું ; પણ જોખમ મોટુંઆર.એફ.ઓ મોદીએ જણાવ્યું કે, વન વિભાગની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ પાર્ટી દરમિયાન કોઈ વન્યપ્રાણી કે પક્ષીનો શિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેઓ ઘરેથી ચિકન લાવ્યા હતા. જોકે, રામસર સાઈટ જેવા અત્યંત સુરક્ષિત અને શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ શકે છે. જે રીતે ગીરના જંગલોમાં નોનવેજ પાર્ટીઓથી વન્યપ્રાણીઓ લલચાઈને માનવ વસાહત તરફ આવે છે, અને ક્યારેક શિકારનો ભોગ બને છે તેવી જ દહેશત અહીં પણ વ્યક્ત કરવામાં આવી છે. રોડ ટુ હેવન પક્ષીઓ માટે ‘હેલ’ ન બનેછારીઢંઢમાં વીડિયો દ્વારા નિયમોનું ઉલ્લંઘન દેખાતું હતું તે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયો છે. ડ્રોનનો ઉપયોગ અને ઘોંઘાટથી સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ પહોંચે છે. સમાન સ્થિતિ રોડ ટુ હેવનમાં છે. કલેકટરનું જાહેરનામું છે, અહીં નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે પણ ‘રીલ’ ના ચક્કરમાં વ્યૂ મેળવવા માટે કથિત ઇન્ફ્લ્યુએનસર અહીં શૂટ કરે છે જે સુરખાબ માટે અત્યંત જોખમી છે. આ મુદ્દે પોલીસ-વહીવટીતંત્ર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરવી આવશ્યક છે.
પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર
કામધેનુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજના પશુચિકિત્સા સારવાર સંકૂલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમથી 9 એપ્રિલે કુરન ગામે પશુ આરોગ્ય તપાસ, સારવાર શિબિર તથા માર્ગદર્શન ગોષ્ઠી યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 98 પશુઓની તપાસ કરીને તેમને જરૂરી સારવાર અપાઈ હતી જેમાં 20 કેસ દવાઓ દ્વારા સારવારના અને 78 કેસ પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓના નોંધાયા હતા. સાથે જ પશુઓને કૃમિનાશક દવા પણ અપાઈ હતી. ડૉ. કે. કે. હડીયા અને ડૉ. હરદીપસિંહ વિજયેતાએ ગાય તથા ભેંસોમાં ગર્ભાશય સંબંધિત રોગોની ઓળખ કરી યોગ્ય સારવાર આપી અને પશુપાલકોને આવી બીમારીઓથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ડૉ. રાકેશ ભોજાણી, ડૉ. હિરેન બારોટ અને ડૉ. ક્રિષિ પટેલે પણ વિવિધ રોગોના નિદાન અને નિવારણ માટે સક્રિય ભાગ ભજવ્યો હતો.શિબિરમાં 26 ગાયો, 46 ભેંસો, 23 બકરાં, 1 ઘોડી અને 2 ઊંટોની સફળ સારવાર કરાઈ હતી.મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એચ. બી. પટેલે આવા ઉપયોગી પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવા જણાવાયું છે. રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.
ઈરાન યુદ્ધની ભારતીયોને અસર : ગેસની અછતથી વતન વાપસી સુધી
- અમેરિકા-ઈરાન વચ્ચે 38 દિવસ ચાલેલા યુદ્ધમાં હવે ૧૪ દિવસનો યુદ્ધવિરામ આવ્યો છે પણ તેનાથી ભારત અને ખાડી દેશોમાં વસતા ભારતીયો ઉપર વ્યાપક અસર પડી છે - અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હાલમાં ઈરાન ઉપર કોઈ હુમલા કરવામાં નહીં આવે. તેના વળતરરૂપે હોર્મુઝની ખાડીનો રસ્તો ખોલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જહાજોની આવન-જાવન પહેલા જેવી જ સામાન્ય કરી દેવાની વાત કરાઈ છે. આ દિશામાં ઈરાને પણ કેટલીક શરતો મુકી છે. આ તમામ મુદ્દે 10 એપ્રિલે ચર્ચા થવાની છે : ભારતમાં સૌથી પહેલાં તો રાંધણગેસની અછત સર્જાવા લાગી.
આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કરે શહેરના કેટલાક નાગરિકોને તેમના વોર્ડના કોર્પોરેટરોના નામ પૂછ્યા હતા. અમદાવાદીઓએ શું-શું કહ્યું જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’
દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસના ભાગરૂપે સીઆરપીએફ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેના ભાગરૂપે ગુરુવારે પણ શહીદોના બલિદાનને યાદ કરતાં શૌર્ય દિવસ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરાઈ હતી. વર્ષ 1965માં પાકિસ્તાનના ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. પરાક્રમની ગાથાને યાદ કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયે જવાનોએ 3 હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. સાથે જ નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ બદલ બીએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધમાં પાકિસ્તાનની 3 હજારથી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડે હુમલો કર્યો હતો. ત્યારે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટની ફરજ પાડી હતી. વળતા પ્રહારથી પાકના 34 સૈનિકો માર્યા ગયા અને 4 જીવતા પકડાયા હતા. દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ,સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્ર ચંદેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
દાંપત્ય અને ઘરેલુ સબંધોમાં સર્જાતી તકરારોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. હાલમાં ભુજ સ્થિત જિલ્લા ન્યાયાલયના મિડીયેશન સેન્ટર ખાતે ફરીવાર એક દંપતીનું દાંપત્ય જીવન તૂટતા પહેલા બચાવી લેવામાં આવ્યું હતું. ચારેક વર્ષથી દંપતી સાથે રહેતા હતા અને જેમાં એમને કોઈ સંતાન ન હતું. પતિની આવક ઓછી હોવાથી એમા ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની જતું હતું. એવામાં અચાનક એક દિવસ પતિને કામ મળવાનું બંધ થઈ ગયું. હવે આર્થિક સ્ત્રોત બંધ થઈ જતાં દંપતી વચ્ચે તકલીફો વધવા લાગી. ઘણીવાર બંને વચ્ચે નાની-નાની બાબતોમાં તકરાર થવા લાગ્યો. ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે, અંતે પતિની પરવાનગી વગર જ કે તેમને ખબર ન પડે તેમ પત્નીએ ઘરની ચીજ-વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી હતી. આ કેસમાં મિડીયેટર દ્વારા પ્રથમ બેઠકમાં બંને પક્ષોની વચ્ચે રહેલી ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મિડીયેટના માર્ગદર્શન તેમજ બંને પક્ષોની સકારાત્મકતાને કારણે સંબંધિત વિવાદના મુદ્દાઓ પર સહમતી સાધી હતી. અંતે, પતિએ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી, નવું કામ શોધી અને કમાણી કરી ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવવા સહમત થયા હતા. સાથે જ પત્નીએ પણ પતિને આત્મહત્યા જેવુ પગલું ન ભરવા વચન આપ્યું. માત્ર એક બેઠકમાં જ જટીલ જણાતો આ લગ્ન વિષયક પ્રશ્ન 4 એપ્રિલે ઉકેલાતા મામલાનું સમાધાન થયું હતું. બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું હતુંપરિસ્થિતિ ત્યાં સુધી કપરી બની ગઈ હતી કે, રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા પણ થઈ શકે તેમ નહતી. ઘણીવાર પતિએ ગુસ્સામાં આવી પત્નીને અપશબ્દો બોલેલા. જેથી પત્નીને દુઃખ લાગતા પતિને આત્મહત્યા કરવાની ધમકી આપી, અંતે બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું. જોકે આ કેસ કોર્ટમાં ઔપચારિક રીતે દાખલ થાય તે પહેલાં તેને મિડીએશન સેન્ટર ખાતે પ્રિ-લિટિગેશન (ઉજાસ) તરીકે રજીસ્ટર કરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 1867 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 31 ફોર્મ જ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઇ. કચ્છની 9 તાલુકા પંચાયતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 31 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 19 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ભુજમાં 04 ફોર્મ, મુન્દ્રા 05 ફોર્મ, અબડાસામાં 02 ફોર્મ અને રાપર તાલુકા પંચાયત માટે 01 ઉમેદવારે ફોર્મ ભર્યો છે. હાલમાં માત્ર અપક્ષ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરશે. કચ્છની બેઠકવાર ફોર્મની સ્થિતિ
શહેરના ચીટરોએ સસ્તા સોનાના નામે ઠગાઈ આચરવા દેશનો એકપણ ખુણો બાકી રાખ્યો નથી, તેવામાં રાજસ્થાનના વેપારીને બજારભાવ કરતા દસ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ પડાવ્યા બાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાનાઓ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના ગાંધીનગરીમાં રહેતા આરોપી રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત અને હાજી વલીમામદ કકલ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2024માં ફરિયાદીના દીકરાને ફેસબુક પર રાહુલ સોની નામની આઈડી દેખાઈ હતી જેમાં વિવિધ દેશના સોનાના બિસ્કીટ બાબતે વિગતો દેખાઈ હતી. જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી વાતચીત કર્યા બાદ 14 ઓક્ટોબર 2024ના ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેની સાથે મીટીંગ કરી રૂપિયા 7 લાખમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. ફરિયાદી સોનાનુ બિસ્કીટ લઈને ચાલ્યા ગયા બાદ વધુ સોનુ ખરીદવા આરોપીને કહ્યું હતું અને આંગડીયા મારફતે 500 ગ્રામ સોના માટે રૂપિયા 34 લાખ મોકલાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વધુ સોનુ ખરીદવાની લાલચ આપી બીજા 34 લાખ પડાવ્યા હત. પરંતુ ફરિયાદીને બિસ્કીટ ન મળતા તેઓ ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા 1 સોનાનુ બિસ્કીટ આપી અલગ અલગ બહાના બનાવી ફરિયાદી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બાદ પણ લાલચ-એલસીબીના ચોપડે ચીટરો અકબંધઆરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ 75 લાખ લઇ લીધા બાદ વિશ્વાસ કેળવવા માટે રૂપિયા 14 લાખના 2 સોનાના બિસ્કીટ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાના બતાવી રૂપિયા કે સોનુ આપ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી અન્ય એક ચીટર ગેંગના હાથે ઠગાઈનો ભોગ બન્યા હતા અને એ મામલે ફરિયાદ પણ કરેલી હતી. ત્યારે બન્ને આરોપીઓ બાબતે તપાસ કરતા કોઈ જાણકારી મળી ન હતી પરંતુ ત્યારબાદ આ બન્ને આરોપીના સાચા નામ જાણવા મળ્યા હતા અને એલસીબી કચેરીમાં તપાસ કરાવતા બન્ને ચીટરો ચોપડા પર ચડેલા દેખાયા હતા.
ભાસ્કર ફોલોઅપ:બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ જણાયેલા 110 છાત્રોનું હિયરીંગ પૂર્ણ, 19 સામે લટકતી તલવાર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પેપર ચકાસણી સહિતની કામગીરી આખરી તબક્કામાં છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન કચ્છ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ દરમિયાન 110 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં બે દિવસ સુધી સુનાવણી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને આચાર્યોને બોલાવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ધોરણ 10 ના 10 અને ધોરણ 12 ના 9 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાતા તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ, ખંડ નિરિક્ષક અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ફૂટેજની આખરી તપાસ કરવામાં આવશે. જો ચોરી સાબિત થશે તો વિદ્યાર્થીના તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. બેદરકારી બદલ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરીક્ષાલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. બોર્ડ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ તે બાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે માસના અંતે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા
શહેરના વાણીયાવાડ વિસ્તારમાં એકાકી જીવન જીવતા અને સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઈ છે. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપીની દુકાનેથી સંસ્થા માટે રાશન ખરીદીના બાકી રહેલા રૂપિયા બાબતે બોલાચાલી બાદ આરોપીએ વૃદ્ધને માથાના ભાગે બોટલ અને દસ્તો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 4 કલાક પછી આરોપીએ ખુદ પોલીસ સામે હાજર થઇ કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં અસ્ટપદા બિલ્ડીંગના બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૩માં રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર કનકલાલ ભુલાણી(શાહ)ની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હોસ્પિટલ રોડ પર રહેતા મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ કનકલાલ શાહે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકે પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી નીલેશ હસમુખલાલ શાહ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 8 એપ્રિલના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના ભાઈ સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હતા. જે સંસ્થા માટે આરોપીની દુકાન પરથી રાશનની ખરીદી કરતા હતા. જેના બાકી રહેતા રૂપિયા માટે આરોપી મૃતકને ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ મેટલની પાણીની બોટલ મૃતકને માથામાં ફટકારી હતી. ત્યાંથી ન અટકતા આરોપીએ મેટલના દસ્તાથી માથામાં ગંભીર ઈજા પહોચાડી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતક આરોપી પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાશન ખરીદતા હતા, જેના રૂપિયા 4 લાખ બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ આરોપી ખુદ પોલીસ મથકે આવ્યો હતો અને હત્યા નીપજાવી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવાનો નાશ કરવા કેમેરાનો ડીવીઆર કાઢ્યોઆરોપીએ રાત્રે 10 વાગ્યે હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ મૃતકના ઘરમાં લગાડેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર કાઢી લઇ પુરાવાનો નાશ કર્યો હતો. એક સમયે ગુનાથી બચવાનો પ્રયાસ કરનાર આરોપી હત્યાના ચાર કલાક બાદ રાત્રે બે વાગ્યે ખુદ એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસ મૃતકના ઘરે પહોચી હતી. ત્યારે વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ બેડરૂમમાં પડેલો દેખાયો હતો. જોકે આરોપીએ કેમેરાનો ડીવીઆર શા માટે કાઢ્યો તે સહીતની વિગતો વધુ તપાસ દરમિયાન સામે આવશે.
ભુજ વોર્ડ નં - 4:ખખડી ગયેલા માર્ગો દેખાય તો સમજવું વોર્ડ નં 4 છે
ગત પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામો થયાનું ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય પૂર્વ નગર સેવકો જણાવે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જોતા આ વોર્ડમાં આવેલા વિસ્તારોમાં સ્થાનિકોના મતે કામોમાં રહેલી કચાશો સુધારવાની જરૂર ચોક્કસ છે. જેષ્ઠાનગર વિસ્તારમાં માર્ગ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને લઈને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગણેશ ચોકથી રોનક ચોક અને લાલ ટેકરીને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યારે ડીપી ચોકથી વાઘેશ્વરી ચોક સુધીનો નવો બનાવેલો રસ્તો ગટર અને પાણીની લાઈનો માટે ફરી ખોદકામ થતા ખાડાઓથી ભરાયો છે. હોસ્પિટલ રોડ પર અગાઉ સારો સીસી રોડ હોવા છતાં હવે ડામર અને પેવર બ્લોકના થિંગડાઓથી અવ્યવસ્થિત સ્થિતિ સર્જાઈ છે. કેમ્પ પોલીસ ચોકીથી રિલાયન્સ મોલ સુધીનો માર્ગ પણ વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. શેરીઓમાં સફાઈ નામમાત્ર થાય છે અને નાળાઓમાં ગંદકી ભરાઈ રહી છે. પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ ઢાળવાળા વિસ્તારમાં પાણીનો બગાડ વધુ થાય છે. અનિયંત્રિત બાંધકામ અને ઓટલાઓને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે, જેના કારણે ઈમરજન્સી વાહનોને પણ અવરજવર મુશ્કેલ બને છે. રસ્તાઓની ખરાબ હાલત અને વધેલા સ્પીડબ્રેકરના કારણે રીક્ષા ચાલકો પણ આવવાનું ટાળી રહ્યા છે અથવા વધુ ભાડું વસૂલ કરે છે. સ્થાનિકોએ ટાઉન પ્લાનિંગ મુજબ નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવાની અને સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે તેવું જણાવ્યું હતું. 6 કરોડથી વધુના માર્ગોના કામ થયા છે !જન લોક ભાગીદારી દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવાતી રકમ પેટે કુલ છ કરોડથી વધુના ખર્ચે સીસી રોડનું કામ થયું હોવાનું જણાવતા પૂર્વ નગર સેવક મોહમ્મદ હનીફ માંજોઠી ઉમેરે છે કે ભાવેશ્વર નગરનું પુલનું કામ હાલમાં ચાલુ છે. ભાવેશ્વર નગર જેષ્ઠા નગર વગેરે જગ્યાએ ડ્રેનેજ લાઇન પડી ગઈ છે. તો વીજપોલ ખડા કરીને સ્ટ્રીટ લાઈટ પણ વધારવામાં આવી છે. માર્ગોના કામ ઉપરાંત ઇન્ટરલોક પાથરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીસી રોડ બન્યા અને તૂટ્યા પણ છે જે કામની ગુણવત્તા બાજુ અંગુલી નિર્દેશ કરે છે. વિસ્તારરાજેન્દ્રનગર, કેમ્પ એરિયા, વિજયનગરનો અમુક વિસ્તાર, જેષ્ઠા નગર, શારદા સોસાયટી, નુતન સોસાયટી, આનંદ કોલોની, ઇન્દિરા નગરી, ઓરિએન્ટ કોલોની, અંબાજી મંદિર પાસેનો રહેણાંક વિસ્તાર મતદારોની સંખ્યા
ઓનલાઇન ફ્રોડ:એચઆરમાંથી છું કહી ઠગે બીઓબીના નિવૃત્ત મેનેજરના ₹18.95 લાખ ઠગ્યા
વાઘોડીયા રોડ પર રહેતા અને બીઓબીમાંથી નિવૃત્ત મેનેજર 72 વર્ષીય ભુપેશચંદ્ર દવે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના બની છે. 17 જાન્યુઆરીએ ઠગોએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી પોતે બીઓબી હેડ ઓફિસ, અલ્કાપુરીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી જણાવ્યું કે, બેંકે રિટાયર્ડ કર્મચારીઓ માટે નવા પેન્શન કાર્ડ બહાર પાડ્યા છે, જેમાં મેડિક્લેમ અને ફ્યુઅલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વિશ્વાસમાં લેવા ઠગોએ વોટ્સએપ પર ‘BOB HRMS VERIFICATIO.apk’ ફાઇલ મોકલી હતી. મેનેજરે ફાઇલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગે દોઢ કલાક સુધી વીડિયો કોલ ચાલુ રખાવી વિગતો ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન ફરિયાદીનો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરી OTP મેળવી લેવાયા હતા. તેમની 11 FD પર લોન લઈને નાણાં ઉપાડી લીધા હતા. કોલ કટ થયા બાદ જ્યારે ફરિયાદીએ સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના અને તેમની પત્નીના 4 ખાતામાંથી 11 એફડી પર લોન લઇ ₹18.95 લાખ 10 ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રમતગમતમાં ઝળહળતી સિદ્ધિ:એથ્લેટિક્સમાં 5.42 મીટરની છલાંગ લગાવી મયૂરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’માં એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એથ્લેટ મયૂરી ગામીતે એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં 5.42 મીટરની લાંબી છલાંગ લગાવી સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ’ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો. રણછોડ રથવીએ જણાવ્યુ હતુ. મયૂરી ગામીતને સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક એથ્લેટીક્સ કોચ પિંકલ આહિર, આસી.પ્રોફેસર નિશા નાઈકોડી અને હરેશ ભવાનીએ માર્ગદર્શન આપ્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધારવા બદલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા.
કલ્ચર ફેસ્ટ:‘ન્યાય કી પુકાર ડ્રામા’ એ મંચને હચમચાવ્યો,ગરબા, ભરતનાટ્યમનો સંસ્કાર સંગમ ફેસ્ટ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મ.સ.યુનિવર્સિટી આર્ટ્સ વિભાગ દ્વારા ત્રીદિવસય સંસ્કાર સંગમ 2026 કલ્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ત્રણ દિવસ માટે સી.સી.મહેતા ઓડિટોરિયમ હોલમાં યોજાયો. જેમાં દેશના અને વિદેશના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પોતાના સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારના સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ ઉપર યોજાયો હતો. જેમાં 3 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શો, ડ્રામા વોક સાથે વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ કરાઇકથક, ભરતનાટ્યમ, ગરબા સહિતની ગ્રૂપ પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તે સાથે સોલો પર્ફોર્મન્સ પણ યોજાયા હતા. ખાસ કરી વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યાય કી પુકાર કરી ડ્રામાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ પર થતા રેપને લઇ સંવેદનશીલ મેસેજ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પહેરવેશમાં વિદ્યાર્થીઓએ મહિલાઓની વ્યથાના ડ્રામાં દ્વારા રજૂ કરી હતી. તે સાથે બોલીવુડના ગીતો પર પ્રસ્તુતિ કરાઇ હતી.
ચૂંટણી ઇફેક્ટ:યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા પાછળ ઠેલાઇ
એમ.એસ. યુનિ.ની પરીક્ષાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશે. યુનિ.ની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની એફવાય બીકોમની પરીક્ષા 24 એપ્રિલની જગ્યાએ 1લી મેના રોજ શરૂ થશે. આ ઉપરાંત એમકોમની પરીક્ષા પણ પાછી ઠેલવી પડે તેવી શક્યતાઓ છે. યુનિ.ની મોટાભાગની ફેકલ્ટીમાં પરીક્ષાઓ મે મહિના પહેલા પૂરી કરવાનું આયોજન હતું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે પરીક્ષાઓ પાછી ઠેલવાનો વારો આવ્યો છે. એફવાય બીકોમની 24 એપ્રિલના રોજ શરૂ થવાની પરિક્ષા હવે 28 એપ્રિલ કે 1લી મેના રોજ શરૂ કરવામાં આવશે. એસવાય બીકોમની પરીક્ષા 17 એપ્રિલથી શરૂ થઈ જે 23 એપ્રિલના રોજ પૂર્ણ થશે.આર્ટસની 21 તારીખથી શરૂ થઈ રહેલી એમએ સેમેસ્ટર 1-2 તથા ટીવાય બીએની પરીક્ષાઓ હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે. હજી આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ નવી તારીખોની રજૂ કરી નથી. પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશેપરીક્ષાઓ મોડી થવાથી પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશે. જેની સીધી અસર નવા શૈક્ષણિક સત્રના એડમિશન પર પડી શકે છે. મે મહિનામાં અધ્યાપકોના વેકેશન પ્લાન પર કાતર ફરી શકે તેવી શકયતાઓ છે. મે મહિનાના વેકેશનમાં પણ અધ્યાપકોએ 15 થી 20 દિવસ કામગીરી કરવી પડશે.
મ.સ.યુનિ.ના 500થી વધુ અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. હોમ સાયન્સ અને લો ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પણ ચૂંટણી ફરજના ઓર્ડર અપાયા છે. જોકે, યુનિ.માં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી રજિસ્ટ્રારે અધ્યાપકોને આ ફરજમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. અધ્યાપકો ઉપરાંત તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી ઓર્ડર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે યુનિ.ના અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે. તમામ ફેકલ્ટીઓમાં ઓર્ડરની કોપી મળતાની સાથે જ તે કેન્સલ કરાવવા માટે અધ્યાપકો ડીન પાસે દોડી ગયા હતા. અગાઉની ચૂંટણીઓના ડેટાના આધારે આ ઓર્ડર કરવામાં આવ્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જવાબદારી અપાઈ છે. મહિલા અધ્યાપકોને પોલિંગ એજન્ટનું કામ સોંપાયું છે. નોન-ટીચિંગ સ્ટાફને ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની કામગીરી સોંપાઈ છે. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને અધ્યાપકોને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમજ જે-તે ફેકલ્ટીના ડીને પણ વ્યક્તિગત રીતે પત્ર લખીને પ્રક્રિયામાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. સંસ્કૃત મહાવિદ્યાલયના 2 અધ્યાપકને 2 ડ્યૂટીના ઓર્ડર અપાયાસંસ્કૃત મહાવિદ્યાલયના બે અધ્યાપકોને ઝોનલ અને પ્રિસાઇડિંગ એમ બંને ડ્યુટીના ઓર્ડર અપાયા છે. એક સાથે બે કામગીરી સોંપાતા અધ્યાપકો મૂંઝવણમાં મુકાયા છે કે કઈ ફરજ બજાવવી. સંસ્કૃત મહાવિદ્યાલયના કુલ 3 કાયમી અધ્યાપકોમાંથી 2ને ચૂંટણી ઓર્ડર મળતા હવે કોલેજનું સંચાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન પણ ઊભો થયો છે. મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો પરીક્ષા ખોરવાશેયુનિ.માં હાલ પરીક્ષાઓને સમય છે. જો આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો શૈક્ષણિક કાર્ય ખોરવાશે. અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શૈક્ષણિક હિતમાં સ્ટાફને મુક્ત કરવા રજૂઆત કરી છે. > કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર, મ.સ.યુનિ. કોન્ટ્રાક્ટ કર્મીને પણ ઓર્ડર, હવે પટાવાળા પણ નહીં મળેયુનિ.ની આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં વહીવટી કામકાજ સંભાળતા તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓર્ડર આપી દેવાયા છે. આમાં 11 મહિનાના ફિક્સ પગાર પર કામ કરતા પટાવાળાઓનો પણ સમાવેશ થાય છે. આ સ્ટાફ વગર, વહીવટી સંચાલન કોણ કરશે?
ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 (ચિત્રા-ફુલસર-નારી) માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મતદારો સફાઈ, ગટર, પાણી અને ડિમોલિશન બાદ સર્જાયેલી આવાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. 'સમસ્યા દૂર કરે તો મત આપીએ, બાકી દેવો નથી'આ અંગે સ્થાનિક અસ્મિતાબેને જણાવ્યું હતું કે, નિયમિત રીતે પાણી આવે છે, પણ એમાં ગટરની વાસ બહુ આવે છે. જેનાથી અમારા બાળકો બિમાર પડે છે. મત લેવા હોય ત્યારે તો ઘડીએ-ઘડીએ બધા આવો છો, અત્યારે અમારે મત દેવો કે ન દેવો કોઈને એ વિચાર આવે છે અમને. બધી સમસ્યા આ દૂર કરી દે એને મત આપીએ અમે, નકર અમારે કોઈને મત દેવો જ નથી. 'ગટરની લાઈન કે કોઈ સુવિધા નથી મળી'સ્થાનિક કંચનબેન કંટોલીયાએ જણાવ્યું હતું કે, કાંગસીયા વિસ્તારમાં અમારે ગટર લાઈન નથી આવી, કોઈ પણ સુવિધા નથી અને કોઈ પણ વાહન મોટું લાવવું હોય તો અમારે બહુ મુશ્કેલી પડે છે. દવાખાનાનું કામ હોય તો એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી. અમે વેરો રેગ્યુલર ભરી દઈએ છીએ. મત દઈએ છીએ તો પણ કોઈ કામ થતું નથી. કોઈ સારું કામ કરે તો એને અમે મત દઈએ. થોડા ઉંચાઈ ઉપર રહીએ છીએ તો ત્યાં કોઈ સુવિધા મળી નથી. 'મત જોઈએ ત્યાં સુધી સફાઈ થાય'સ્થાનિક ભાવનાબેનએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં સફાઈ નથી થતી અને નથી કચરાવાળો આવતો. જ્યારે મત જોઈએ તો સાહેબો બધા દોડ્યા આવે. મત અમારે શું કામ દેવાના? સફાઈ તો થતી નથી તો શું કામ આ બધું કરવાનું? જ્યારે મત જોતા હોય ત્યાં સુધી સફાઈ થાય. મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું? મત લઈ લે અને પછી ડોકાતાય નથી, આ વખતે અમારે જે કંઈક સારું કામ કરશે એને મત દેવાનો, બાકી કોઈનું જોવાનું જ નથી. '82 મકાન પાડ્યા, અમારો આશરો છીનવાયો'ફુલસરના સ્થાનિક બાલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 82 મકાનમાં અમે ભાજપના કાર્યકર્તા છીએ. એમની પાછળ અમે ત્રણથી ચાર વખત ગયા. એમણે એવું કહ્યું કે તમારા મફતનગરને કાંઈ નહીં થાય. હવે અમે એમના આધારે ઉભા રહ્યા. અમારા 82 મકાન પાડવા આવ્યા ત્યારે અમને કોઈ આશરો દીધો નહીં અને અમારો સામાન બધો ભાંગી નાખ્યો. હવે અમારે કોઈ રહેવાનો આશરો નથી. તો અમારે હવે જવાનું કઈ ઠેકાણે. આ કોઈ દીવસ કોઈ ભાજપનો એક કાર્યકર પણ આવ્યો નથી. જેની પાછળ ગયા એને કીધું 'ના કાંઈ નહીં થાય, તમે એવી ઉપાધિ કરો માં. 'ગરીબ માણસનું કામ કરે એમને લાવીશું' સવારમાં 7 વાગ્યામાં આવીને બુલડોઝર ફેરવી દીધું. તો અમારે કઈ ઠેકાણે જવાનું અમારા 82 મકાન પાડ્યા અને મેલડી માતાજીના મંદિર પાસે 22 મકાન પાડ્યા. તો અમે બધા નિરાધાર થઈ ગયા છીએ. કોઈને કાંઈ આશરો છે નહીં. અમારે ગરીબ માણસનું કામ કરે એવા માણસોને રાખવા માંગીએ છીએ. બાકી આવા લુખ્ખા લફંગાનું કાંઈ કામ નથી. અને અહીંયા મત માટે આવતા જ નહીં? અમારે તમારી કાંઈ જરૂરી નથી, તમે અમારું કાંઈ કાર્ય કર્યું નથી. અમે હાવ નિરાધાર છીએ અત્યારે. 'ચૂંટણી પછી કોઈ દેખાતું નથી'કૌશિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે ફૂલસરમાં આંગણવાડીઓ તો ઘણી છે. પણ અત્યારે મધુવન સોસાયટી, ખારા વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી અને કર્મચારીનગર, આ ચારેય વિસ્તારની થઈને એક આંગણવાડી છે એ પણ ભાડે છે. એની અંદર પણ છોકરાઓની સંખ્યા એટલી બધી છે પણ આ એક રૂમની અંદર આ છોકરાઓ યોગ્ય રીતે બેસી પણ નથી શકતા. જેની અવારનવાર અમે રજૂઆતો કરી છે છતા કોઈ નિરાકરણ આવતું નથી. હવે તો અમને વિચાર આવે છે કે મત આપી અમે ખુરશી ઉપર બેસાડીએ છીએ પણ હવે આનું કાંઈ કામકાજ તો થતું નથી, તો હવે અમે કોને મત આપવો. વધુમાં જણાવ્યું કે ચૂંટાઈ જાય પછી અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી અને કોઈ કાંઈ ભલામણ કરતું નથી. 30-30 વર્ષથી માત્ર વાયદા કર્યાં છે:કાંતિ ચૌહાણકોંગ્રેસના ઉમેદવાર કાંતિ ચૌહાણે સત્તાધારી પક્ષ પર 'વાલા-દવલા'ની નીતિ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન અને ટેમ્પલ બેલની વ્યવસ્થા અનિયમિત છે, જેના કારણે કચરાના ઢગલા થાય છે. પાણીની નવી ટાંકીઓ છતાં લોકોએ મોટર મૂકવી પડે છે અથવા ટેન્કર મંગાવવા પડે છે. આપણે વિકાસ વિકાસ કહીએ, વિકાસ આવો અમારે ચિત્રા ફુલસરમાં જુઓ કે કઈ પ્રકારનો વિકાસ છે. રોડ રસ્તાથી વિકાસ નથી થતો સામાન્ય માણસ ગરીબ માણસને રોજી રોટી આપે એ વિકાસ સાચો કહેવાય. 100 ટકા અમે આ સમસ્યાનું નિરાકરણ લાવશું. કાંતિ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો અમારી ઉપર વિશ્વાસ મુકે અને અમારી પેનલને જિતાડશે, અમે 100 ટકા લોકોના સંપૂર્ણ કામને વાચા આપી અને આ કામ પૂર્ણ કરાવશું એવી ખાતરી આપીએ છીએ. અને આ લોકો આજે 30-30 વર્ષથી વાયદા કરતા હોય છે, તો પણ એ કામ પૂર્ણ નથી કરી શક્યા. અને કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે કે આટલું કરશું અને આટલું કરીશું, ચૂંટણી આવે ત્યારે જ કામ કરવાના. રોડ રસ્તાના ખાતમુહર્ત તાત્કાલિક કરવામાં આવે છે, કા પહેલા નથી કરતા? આ 30-30 વર્ષથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. '5 વર્ષમાં 200 કરોડથી વધુના કામ થયા'ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં 200 કરોડથી વધુના કામો થયા છે. તેમણે પાણીની વ્યવસ્થામાં સુધારો થયો હોવાનું જણાવી ચાર નવા વોટર સોર્સ ઉભા કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર પર ગ્રાન્ટનો દુરુપયોગ માત્ર બાંકડા અને પીંજરા મૂકવામાં કર્યો હોવાનો વળતો પ્રહાર કર્યો છે. ગમે તે સોસાયટીમાં જઈને કહો કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે? જો તમને સોસાયટીમાંથી મિનિમમ એક કામ અથવા ત્રણ કામથી વધારે ગણાવી દે. તમે ગમે તે સોસાયટીમાં ઈન્ટરવ્યુ લઈ શકો છો. વાત થાય કે પાંચ વર્ષમાં એમે ક્યાં ગ્રાન્ટ વાપરી? લોકભાગીદારીમાં અમને દર વર્ષે 30 લાખની ગ્રાન્ટ મળે એટલે પાંચ વર્ષની દોઢ કરોડની ગ્રાન્ટ થાય. અમે 8થી 9 કરોડના કામ લોકભાગીદારીથી કર્યાં. ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આવા આવાસ પાડી દીધા, લોકોને ઘરવિહોણા કરી દીધા. તો મારે કાંતિભાઈને કહેવું છે કે જેની પાસે આધાર હતા નગરના, તેઓને માત્ર 1 લાખ રૂપિયામાં આવાસ આપવામાં આવ્યા. આખા ભાવનગર મહાનગરપાલિકામાં જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં આ એક જ એવી જગ્યા છે કે જેમને ઘરવિહોણા કોઈને કરવામાં નથી આવ્યા. સરકારની રોડ ઉપરની જગ્યા પર હતા. રોડ-રસ્તા કરવા પણ ખૂબ જરૂરી છે, ત્યારે એમને માત્ર 1 લાખ રૂપિયામાં (આવાસ આપ્યા) અને જે 1 લાખ રૂપિયા પણ નહોતા પહોંચી શકતા તેમને બેંક દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા 1 લાખ રૂપિયા પણ ફાઇનાન્સ કરાવીને એમને રહેણાંક માટેની સુવિધા કરી છે.
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-11માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. દિવાળીપુરામાં નળમાં ગટર મિશ્રિત પાણી આવેસૌથી પહેલા અમે વોર્ડ નંબર 11ના દિવાળીપુરા ગામમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં ગટર મિશ્રીત પાણી આવે છે. અહીં અંબિકાનગર, રંગ અવધૂત વસાહત અમે અનંત પાર્ક સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અહીં પાણી અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. પીવાનું પાણી તો રૂપિયા ખર્ચીને બહારથી લાવવુ પડે છે. અને વાપરવા માટે પણ ઘણીવાર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. દિવાળીપુરા ગામમાં આવેલ અંબિકાનગર વસાહતમાં રહેતા કપિલાબેને જણાવ્યું હતું કે, જુઓ ભાઈ, આ અમારી પીવાની પાણીની ટાંકી છે. અહીં ગટરનું બધું ગંદુ પાણી ભેગું થાય છે. અમે આ સમસ્યા ઉકેલવા માટે 40,000 રૂપિયા ખર્ચ્યા છે, રોજ સિમેન્ટની થેલીઓ નાખીને કામ કરાવ્યું, પણ પાણી પાછું આવે છે. હવે તો અમે ટાંકી ભરવાનું જ બંધ કરી દીધું છે. અમારી તકલીફ તો પૂછો જ નહીં! ઘરમાં માણસો વધારે છે અને પાણી ઓછું આવે છે, તેમાંય આવું ગટરનું ગંદુ પાણી આવે તો વાપરવું કેવી રીતે? આ જુઓ, અહીં પથરા પણ ઊંચા-નીચા થઈ ગયા છે, ગંદકી ફેલાય છે અને ઉંદરોનો પણ ત્રાસ વધી ગયો છે. છ-છ મહિના સુધી ખાડા ખોદેલા રહે છે, જે અમે જાતે પુરાવ્યા છે. શું તમે આ બાબતે તમારા સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ આવતું નથી ભાઈ! જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે જ લાઈનો લાગે છે. અમારું કામ કરવા કોઈ તૈયાર નથી. અમે રાત્રે બે-બે વાગ્યા સુધી જાગીને મજૂરો બોલાવી કામ કરાવ્યું છે, પણ તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. 'ગટરની ફરિયાદ કરીએ તો નામ પૂરતી કામગીરી કરી જતા રહે છે'અંબિકાનગર વસાહતમાં રહેતા તેજસભાઈ ધોબીએ જણાવ્યું હતું કે, અહીં ગટર સતત ભરેલી જ રહે છે. જ્યારે પણ અમે ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનના માણસો આવે છે, ફક્ત એક સળિયો મારીને ગટર ખોલવાનો પ્રયત્ન કરે છે અને પછી જતા રહે છે. તેઓ અમને કહે છે કે તમે મશીનવાળાને બોલાવો કે ટેમ્પાવાળાને બોલાવો. પાંચ મિનિટમાં સળિયો મારીને સહી કરાવીને તેઓ નીકળી જાય છે અને ચાર દિવસ પછી ગટર ફરી ભરાઈ જાય છે. પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળે છે. ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. નાના છોકરાઓ જ્યારે હાથ-મોઢું ધોવા જાય છે ત્યારે આવું ગંદુ પાણી શરીરમાં જવાથી તેમને પેટમાં દુખાવો અને વાયરસની સમસ્યાઓ થાય છે. આ સમસ્યા છેલ્લા બે-ત્રણ વર્ષથી છે. ગટરની લાઈન આખી નીચે બેસી ગઈ છે. જ્યાં સુધી નવી લાઈન નાખવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં. અમે ઓનલાઈન અને રૂબરૂ ઘણી ફરિયાદો કરી છે, પણ કાયમી સોલ્યુશન આવતું નથી. ચોમાસામાં તો અમારે ઘર છોડી બીજે રહેવા જવું પડે છેઃ ગીતાબેનદિવાળીપુરા ગામની રંગ અવધૂત વસાહતમાં રહેતા ગીતાબેન વઢવાઈએ જણાવ્યું હતું કે, અમારે ચોમાસામાં તો અમારે ઘર છોડીને બીજે રહેવા જવું પડે છે. મારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. ઘરનો બધો સામાન પલળી જાય છે અને ભારે નુકસાન થાય છે. ગત ચોમાસે તો અમારે એક મહિનો ઘરની બહાર રહેવું પડ્યું હતું. અધિકારીઓ અને નેતાઓ આવે છે પણ જોઈને જતા રહે છે, કોઈ નક્કર કામગીરી થતી નથી. કોઈ ઉકેલ આવતો જ નથી. જો તેઓ રૂબરૂમાં આવીને જુએ તો તેમને ખબર પડે કે અમે કેટલી તકલીફમાં જીવીએ છીએ. શાસનમાં કોઈપણ આવે અમારે અમારું કામ થવું જોઈએ- મુકેશ નાયકદિવાળીપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, સાહેબ, અહીં ઘણા સમયથી ગટર લાઈનની ગંભીર સમસ્યા છે. ગટરો ઉભરાવવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. આને લીધે વિસ્તારના ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને અમારે વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે. અહીં વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જનરેટર અને પાઇપલાઇનો મૂકી રાખવામાં આવી છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. કોઈ જોવા પણ આવતું નથી. અમે વેરો ભરીએ છીએ, લાઈટ બિલ ભરીએ છીએ, છતાં અમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ચોમાસામાં અહીં ભુવા પડે છે, ખાડાઓ થાય છે અને લોકોના હાથ-પગ ભાંગે છે. જો કામ નહીં થાય તો અમારો મત આપવાનો કોઈ ઈરાદો નથી. કોઈ પણ સરકાર હોય ભાજપ કે કોંગ્રેસ અમને કામ જોઈએ છે. જનતાને અત્યારે બહુ તકલીફ છે. પ્રેશરથી પાણી ન મળતા પૈસા ખર્ચી ટેન્કર મંગાવવું પડે છે- વિભૂતિ પટેલદિવાળીપુરાની અનંત પાર્ક સોસાયટીમાં રહેતા વિભૂતિ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય સમસ્યા પાણીની છે. છેલ્લા ઘણા સમયથી અમને પૂરતું પાણી મળતું નથી. જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેનું પ્રેશર એટલું ઓછું હોય છે કે ઘરકામ પણ માંડ પૂરું થાય. એમાંય ઉનાળામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ઘણી વાર રજૂઆતો કરી, પણ કોઈ સાંભળતું નથી. અમારે 600 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. છેલ્લા દસ વર્ષથી પાણીની આ સમસ્યા છે. સાથે સાથે ગટર અને રસ્તાની પણ હાલત ખરાબ છે. અમે ટેક્સ ભરીએ છીએ, તો અમને સુવિધા કેમ નથી મળતી? કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ કઈ રિઝલ્ટ મળ્યું નથી. 10 વખત કમ્પ્લેન કરીએ તો એકવાર આવે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરને તો અમે ક્યારેય જોયા જ નથી. મારા વિસ્તારના ડેપ્યુટી મેયર છે, પણ અમે એમને ઓળખતા નથી. અહીંથી અમને ગદાપુરા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં લોકોના ઘરોમાં ગટર ઉભરાઈ રહી છે અને વુડાના મકાનમાં તો જીવવું દુષ્કર બની ગયું છે. અહીં ગટર લાઇનો ઉભરાઈ ગઈ છે અને પીવાનું પણ બહારથી લાવવું પડે છે. 'નેતાઓને 50 વાર રજૂઆત કરી પણ થઈ જશેના વાયદા જ આપે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા મહિલા રમીલાબેન માળીએ જણાવ્યું હતું કે, હું તો અહીં વર્ષોથી રહું છું. પહેલા પરિસ્થિતિ આવી નહોતી, પણ હવે તો હદ થઈ ગઈ છે. અમારી ગટર ઉભરાઈ જાય છે. કોર્પોરેશનમાં અને સ્થાનિક નેતાઓને 50 વખત રજૂઆત કરી છે. દરેક વખતે એ લોકો 'થઈ જશે, થઈ જશે' કહીને વાયદા આપે છે, પણ કામ કોઈ કરતું નથી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ કંઈ કામ કરવાની ના પાડે છે. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને પૈસા લઈને કામ કરે છે. તેમ છતાં સરખું કરીને જતા નથી. 'ચૂંટણી આવે એટલે સાડી, પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા અમરસિંહભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણી વાર રજૂઆતો કરી છે. પણ વૉર્ડ વાળા એવું કહે છે કે આ તો તમારે લાગે છે, તમારે સાફ-સફાઈ કરવાની. હવે તમે જ કહો, અમે વેરો તો બધો જ ભરીએ છીએ, ગટર વેરો પણ ભરીએ છીએ, તો પછી સફાઈ અમારે કેમ કરવાની? તેઓ અમારી પાસેથી પૈસા લે છે પણ કામ નથી કરતા. સફાઈ કામદારો આવે છે ખરા, પણ ઉપર ઉપરથી જોઈને જતા રહે છે. તેઓ પૈસા માંગે છે, અને પૈસા આપ્યા પછી પણ બરાબર કામ નથી કરતા. મેં પોતે 60 વર્ષની ઉંમરે 15 ફૂટ ઊંડી ચેનલમાં ઉતરીને ગટર સાફ કરી છે. જે કામ સફાઈ કામદારો નથી કરી શકતા, તે મારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓ તો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. ચૂંટણી નજીક આવે ત્યારે સાડીઓ, પૈસા અને પોટલીઓ આપીને મતો ખરીદી લે છે. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પણ આ વિસ્તારના છે, પણ તેઓ પણ કંઈ કરતા નથી. અમે અરજીઓ આપી આપીને થાકી ગયા છીએ, પણ બધું જ ઠપ્પ છે. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે જે ગટર અને ગંદકીની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે. ગરીબોને માત્ર 2000 રૂપિયા આપીને કે પેન્શન આપીને તમે તેમને ખરીદી ન શકો. અમને સુવિધાઓ જોઈએ છે, જેનો અમે વેરો ભરીએ છીએ. ગટરો એટલી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો- ભરત ભગતિયાગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા ભરતભાઈ ભગતિયાએ જણાવ્યું હતું કે, અમે વુડાના મકાનોમાં જ્યારથી અહીં રહીએ છીએ ત્યારથી જ આ ગંભીર સમસ્યાઓ છે. અહીં કોઈ જોવા પણ નથી આવતું. ગટરો એટલી બધી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો! પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નાના છોકરાઓ બહાર રમવા પણ નથી નીકળી શકતા. તમે જોઈ શકો છો આ ગંદકી ચારેબાજુ ફેલાયેલી છે. પીવાનું પાણી તો આવે છે પણ તે સાવ ગટરવાળું જ હોય છે. અંદર ગટરનું પાણી ભળેલું આવે છે. અમારે રોજ બહારથી પાણી ભરી લાવવું પડે છે. અમે ભાથુજીના મંદિરેથી પાણી ભરી લાવીએ છીએ. બધું પાણી અમારે ઊંચકીને લાવવું પડે છે કોઈ નેતા કે અધિકારી આવતું નથી, કોઈ જોવા પણ તૈયાર નથી. અહીંના નેતા ચિરાગભાઈ (ડેપ્યુટી મેયર) છે. પણ તેઓ અહીં ક્યારેય દેખાતા નથી. જો કોઈ નેતા અહીં રહેતા હોય તો તેમને ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમે આખા વિસ્તારમાં ફરીને જુઓ તો જ અંદાજ આવશે કે અહીં કેટલી ગંદકી અને સમસ્યાઓ છે. ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રમીલાબેન જણાવ્યું હતું કે, અહીં સૌથી મોટી તકલીફ એ જ છે કે અમારા છોકરાઓને નિશાળે મૂકવા જઈએ ત્યારે રસ્તામાં બધે જ ગંદું પાણી ભરાઈ જાય છે. આ બધું જ પાણી ગંદું અને વાસ મારતું હોય છે. આ કાયમી સમસ્યા છે. ખાસ કરીને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે છેક ઘર સુધી આવી જાય. રસ્તાઓ કાદવ-કીચડથી ભરાઈ જાય છે. બાળકો બિચારા આટલા પાણીમાં કેવી રીતે ભણવા જાય? એટલે વારંવાર એમની રજાઓ પડી જાય છે. એમના સ્કૂલના ટીચર પણ અમને બોલે છે, પણ આમાં અમારો શું વાંક? ભણતર પણ બગડે છે અને બીમારીનો ડર પણ રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સમસ્યા જોવા માટે કોઈ જ નથી આવતું. કેટલીય વાર રજૂઆત કરી પણ કોઈ ફરક પડ્યો નથી. જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે બધા જ નેતાઓ અહીં આંટા મારશે, પણ પછી કોઈ ગરીબ લોકોની હાલત જોવા નથી આવતું કે અમને કેટલી તકલીફ પડે છે. અમારી એક જ માંગણી છે કે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તાઓ સરખા કરવામાં આવે જેથી અમારા બાળકો સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે અને અમારે આવી ગંદકીમાં જીવવું ન પડે. આખા વિસ્તારમાં લોકો પાયાની સુવિધાના અભાવથી ત્રાહિમામ છે- પ્રતાપસિંહ ચાવડાવડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 11ના પ્રમુખ પ્રતાપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના વિવિધ વિસ્તારો જેવા કે અંબિકાનગર વસાહત, રંગઅવધૂત વસાહત અને અનંત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ, ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ચોમાસામાં તો આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. લોકો આ બધી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ વહીવટદારો તેમની વાત સાંભળતા નથી. પાણી અને ગટરની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના લોકોના મતે તો તેમણે આ કોર્પોરેટરોને ક્યારેય જોયા જ નથી અને કોઈ તેમને ઓળખતું પણ નથી. લોકોમાં ભારે રોષ છે કે આટલા પ્રતિનિધિઓ હોવા છતાં તેમના પ્રશ્નો વણઉકેલ્યા છે. છેલ્લા 30 વર્ષના શાસન પછી પણ વડોદરામાં રસ્તાઓની હાલત દયનીય છે. ઠેર-ઠેર રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને પાયાની સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. આખા વડોદરામાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે- ચિરાગ બારોટવડોદરા વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11 આમ તો પહેલેથી જ એક ડેવલપ થયેલો વિસ્તાર છે, કારણ કે તે અન્ય મહત્વના વોર્ડની વચ્ચે આવેલો છે. તેમ છતાં, છેલ્લા 5 વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે. અમે વોર્ડમાં 24 મીટર અને 30 મીટરના નવા પહોળા રોડ બનાવ્યા છે. અત્યારે બે મોટા બ્રિજ બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. એક વાસણા બ્રિજ અને બીજો સનફાર્મા રોડ પર કેનાલ પાસે બ્રિજ બની રહ્યો છે. આ ઉપરાંત, સુભાનપુરામાં લોકોની સુવિધા માટે 10 કરોડના ખર્ચે નવું અતિથિગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાન માટે ઉત્કર્ષ સ્કૂલ પાસે 4 કરોડના ખર્ચે એક અદ્યતન લાઇબ્રેરી પણ બની રહી છે. આ રીતે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ સંપૂર્ણપણે ક્યારેય નાબૂદ થતી નથી, તે તો રહેવાની જ. પરંતુ અમારો મુખ્ય હેતુ તેના ઉકેલ માટે ઝડપથી કામ કરવાનો છે. અમે સતત કામગીરી કરી રહ્યા છીએ અને જ્યાં પણ આવી તકલીફો હશે ત્યાં હજુ પણ વધુ તીવ્રતાથી અને આયોજનબદ્ધ રીતે કામ કરીશું, જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે.
નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મહેસાણા મનપાના 13 વોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 13ના લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કર ટીમ ઋષિનગર અને રાણા વાસમાં પહોંચી હતી. જ્યાં રહીશો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અને સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની દિવસ રાત સફાઈ કરતા સફાઈકર્મીઓ જે વોર્ડમાં રહે છે, એવા ઋષિનગર વિસ્તારમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં જ્યારથી પ્રજા વસવાટ કરે છે ત્યારથી આજ સુધી ન તો ગટર લાઈન આવી કે ન તો પાકા રસ્તા બનાવવામાં આવ્યા. મોટા ભાગના મકાનોમાં ખાર કુવા જોવા મળે છે. જે અવારનવાર ઉભરાઈ જતા ગટરના ગંદા પાણી લોકોના ઘરની આજુબાજુ ફેલાયેલા જોવા મળ્યા હતા. રાણાવાસમાં વીજળી અને રખડતા ઢોરની સમસ્યાસ્થાનિકોએ અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. તેમ છતાં આ વિસ્તારની સમસ્યા ઠેરના ઠેર રહી છે. થોડા સમય પહેલા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન નાખવામાં આવી હતી. પરંતુ તેમાંથી ઋષિનગર વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યારે બાજુમાં અડીને આવેલા ગણેશ રેસિડેન્ટમાં ગટર લાઇન નાખવામાં આવી છે. બીજી બાજુ રાણા વાસમાં રખડતા ઢોર અને વીજળીની સમસ્યાથી રહીશો પરેશાન છે. અમે બહુ ત્રાસી ગયા છીએ:નરસિંહ વાઘેલાનરસિંહ વાઘેલાએ ભાસ્કરને જણાવ્યું હતું કે અમારે રોડનો અને ગટર લાઈનનો મોટો પ્રશ્ન છે. અમે વાલ્મિકી સમાજના છીએ આખા ગામની ગંદકી સાફ કરીયે છીએ. છતાંય અમારા પ્રશ્નને સરકાર હલ કરી નથી શકતી. અમને લાગે છે કે 'ભારત દેશમાં રહીએ છીએ એ મોટો અપરાધ કર્યો છે'. વર્ષ 2012થી અમે આ સમસ્યાને લઈ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે બહુ ત્રાસી ગયા છીએ. છેલ્લા 40 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અને 110 ઘર આવેલા છે. દરેકના ઘરના ખાર કુવા ઉભરાય છે અને કુવા ખોદાવીને થાકી ગયા છીએ. 'અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ'નરસિંહભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા વસવાટ કરતા લોકો કોર્પોરેશનના સફાઈ કર્મીઓ છે જે સાત આઠ હજારમાં નોકરી કરે છે. અમે ટેક્સ પણ ભરીયે છીએ અને આ બાબતે પાલિકામાં બુમો પાડી પાડી થાકી ગયા. 25 લોકો અરજી કરવા ગયા હતા. તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અમારે ચૂંટણીમાં વોટિંગ જ નથી કરવું. આ લોકોને વોટ આપી કરવાનું શુ? આખા મહેસાણામાં વિકાસ થાય છે પરંતુ ઋષિનગરનો કોઈ વિકાસ નથી સાહેબ. અહીંયા સમસ્યાના હલ માટે આવે છે, જોવે છે અને જતા રહે છે. અમને કોણીએ ગોળ લગાડે છે બસ. અમારી તો ક્યાંય ગણતરી જ નથી. ‘ખાર કૂવો ખાલી કરવા રુપિયા આપવા પડે’તરુણ કુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારે ઘણા સમયથી ગટર લાઈનની સમસ્યા છે. ખાર કૂવો ખાલી કરાવવાના ટેન્કર વાળાને 1000-1000 રૂપિયા આપવા પડે છે. અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આવા પૈસા આપી શકીએ. અમારી સોસાયટીમાં જે ગટર લાઇન આવી છે એ પુરી કરી આપે એવી માગ છે. સોસાયટીમાં રોડ રસ્તા પણ અધૂરા જ આવ્યા છે. અત્યાર સુધી અમારા વિસ્તારમાં કોઈ જોવા આવ્યું નથી. ‘આ વખતે વોટ આપવો જ નથી’સ્થાનિક મનીષાબેને જણાવ્યું કે અહીંયાના 90 ટકા લોકો સફાઈ વ્યવસ્થામાં જોડાયેલા છીએ. અમારા જ વિસ્તારનો પ્રશ્ન સાંભળવામાં આવતો નથી. ઋષિનગર સોસાયટીના લોકોએ એટલે કે અમે તો હવે વિચારી લીધું છે કે વોટ આપવો જ નથી. ‘નેતા વોટ લેવા આવે જોવા આવતા નથી’તો સ્થાનિક કે.બી.રાઠોડએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં ક્યારે કોઈ નેતા કે કોર્પોરેટર જોવા પણ આવતા નથી, વોટ લઈ જતા રહે છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. ‘5 વર્ષમાં કોઈ વિકાસના કાર્યો થયા નહીં’સતીશ રાણાએ જણાવ્યું હતું કે, અમારા કસબા વિસ્તારમાં જે પાણીની ટાકી બની છે એ લીકેજ થઈ છે. ખારી નદીમાં ગંદા પાણી છોડવામાં આવે છે, આ બાબતે અરજી આપી છે પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. વર્ષ 2021માં જે ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા એ અમારા વિસ્તારમાં ક્યારેય જોવા આવ્યા નથી. પાંચ વર્ષ દરમિયાન અમારા વિસ્તારમાં કોઈ પણ વિકાસ થયો નથી. અમારા ટેક્ષના પૈસા પાણીમાં ગયા છે એવું લાગી રહ્યું છે. ‘અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ’પરમાર રજનીએ જણાવ્યું હતું કે રોડ બનાવ્યો છે પણ બાજુમાં બ્લોક નાખ્યા નથી. જેના કારણે પાણી ભરાઈ રહે છે અને મચ્છર બહુ આવે છે. નાના છોકરા રમતા હોઈ એમને બહુ તકલીફ પડે છે. રાણાવાસમાં 40 ઘર છે. એમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારું બહુ રહે છે. કોઈ વીજપોલ કે લાઈટની સુવિધા નથી. વધુમાં જણાવ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવો ત્યારબાદ અમે વોટનું વિચારીશું.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ભાવનગરનો એક ખેડૂત પુત્ર જે ક્યારેક CA બનવાના સપના જોતો હતો પણ હવે માલ્ટા નામના દેશથી ચાલીને નીકળ્યો છે અને દિલ્હી સુધી 12 હજાર કિલોમીટરનો રસ્તો કાપીને ઇતિહાસ રચશે. સાથે બેબી વોકર છે, ખભા પર 15 કિલો કચરો એકઠો કરી શકાય તેવી બેગ છે, મનમાં ક્લાયમેટ ચેન્જ સામે લડવાનો મક્કમ નિર્ધાર છે. આ યુવાન એટલે જયદીપ લાખણકિયા. કરિયર બનાવવા ગયેલા જયદીપ સાથે માલ્ટામાં એવું તો શું બન્યું જેના કારણે તેણે આ મિશન શરૂ કર્યું? ચાલીને દિલ્હી સુધી સફર કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું છે? આખા દિવસનું શિડ્યુલ શું છે? કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? જ્યારે ઇટલીની પોલીસે રોક્યો ત્યારે શું બન્યું હતું? આવા અનેક સવાલો અંગે તેણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જયદીપ જ્યારે માલ્ટા ગયો ત્યારે ગ્રીસમાં યોજાયેલી 26 દિવસીય કોન્ફરન્સમાં ગેસ્ટ અને પાર્ટિસિપન્ટ તરીકે જવાનો મોકો મળ્યો હતો. કોન્ફરન્સમાં ક્લાયમેટ ચેન્જ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ ચર્ચાએ જ જયદીપના મનમાં ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માલ્ટાથી ચાલીને ભારત આવવાના મિશનનો પાયો નાખ્યો હતો. હવે તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લઇ 12 હજાર કિલોમીટરની સફર ખેડીને ભારતમાં તેની યાત્રા પૂર્ણ કરશે. 21મી ફેબ્રુઆરીએ મિશનની શરૂઆતમાલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયાએ 21મી ફેબ્રુઆરીએ જયદીપના મિશનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ભારતીય કોમ્યુનિટી અને ત્યાંના મોટા મોટા એથ્લિટ્સ પણ જોડાયા હતા. જે દિવસે જયદીપના મિશનની શરૂઆત થવાની હતી એ દિવસે સવારે વડાપ્રધાનના પત્નીએ જયદીપને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ફ્લેગઓફમાં જોડાઇશું પણ બહું નહીં રોકાઇએ. જ્યારે તેઓ આવ્યા ત્યારે 45 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્લાયમેટ ચેન્જ માટે આ પ્રકારની ઝુંબેશ પહેલીવાર થઇ રહી છે. આ માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે તમે માલ્ટાને પસંદ કર્યું. જ્યારે પણ ઇતિહાસમાં નામ લેવાશે ત્યારે માલ્ટાને પણ લોકો યાદ કરશે. આટલું કહીને વડાપ્રધાનના પત્ની જયદીપને ભેટી પડ્યા હતા. બિલાડી સાથે ક્રૂરતા જોઇ આંસુ આવી ગયાજયદીપ જ્યારે ઇટલીના વીબો મરિના નામના શહેરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક જગ્યાએ જાળીમાં બિલાડીને ફસાયેલી જોઇ હતી. જયદીપ જ્યારે તેને બચાવવા માટે ગયો ત્યારે તેને આંચકો લાગ્યો કેમ કે બિલાડી જાળીમાં ફસાઇ નહોતી પણ કોઇએ જાણી જોઇને ક્રૂરતાપૂર્વક તેને બાંધી દીધી હતી. જયદીપે બિલાડીને ત્યાંથી કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યાં. જયદીપે સ્થાનિકોની મદદ લેવાની પણ કોશિષ કરી પણ ભાષાની સમસ્યા નડી. એક ટ્રક ડ્રાઇવર તેની મદદે આવ્યો અને તેની પાસે રહેલા પક્કડથી બિલાડીને છોડાવી તો લીધી પણ થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામી. આ ઘટનાથી જયદીપ રડી પડ્યો. જયદીપ ત્યાં 5 કલાક સુધી રોકાયો હતો અંતે તેણે મૃત બિલાડીને 17 કિલોમીટર દૂર લઇ જઇને સુરક્ષિત સ્થળે દફનાવી દીધી હતી. તેણે પોતાની 2 દિવંગત બહેનાના નામ પરથી આ બિલાડીનું નામ ક્રિતા પાડ્યું હતું. યાત્રા દરમિયાન જયદીપે તસવીરો કેટલીક તસવીરો પાડીને ભાસ્કરને મોકલી હતી. કેવી રીતે સફરની શરૂઆત થઇ?જયદીપે હાલમાં 42 દિવસથી વધુની સફર પૂરી કરી છે. તેણે પોતાના મિશન વિશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લાયમેટ ચેન્જ મોટો વિષય છે. મેં આ બાબતે ભણવાનું અને રિસર્ચ કરવાનું અને મોટા સાયન્ટિસ્ટને સાંભળવાનું શરૂ કર્યું. દરમિયાન એક શબ્દ મારી સામે આવ્યો ક્લાયમેટ ઇનજસ્ટિસ. એ પણ ધ્યાને આવ્યું કે ક્લાયમેટ ચેન્જમાં ભારતનો કોઇ ફાળો નથી છતાં ભારતીયોઓ જ વધુ ભોગવવાનું છે એટલે મેં નક્કી કર્યું કે માલ્ટામાં મારું કરિયર અને બધું છોડીને ભારત પાછો આવીશ. આ રીતે સફરની શરૂઆત કરી. યાત્રા પહેલાં અનેક ગડમથલ ચાલતી હતીયાત્રા શરૂ કરતાં પહેલાં જયદીપના મનમાં અનેક ગડમથલ ચાલતી હતી. તેણે જણાવ્યું કે, ભલે મને માલ્ટામાં સ્કોલરશિપ મળી હોય છતાં પાંચેક લાખ જેટલો ખર્ચો થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતો હોવાના કારણે સૌથી પહેલાં તો એ જ નક્કી કર્યું કે આ પાંચ લાખ રૂપિયા રિકવર કરવા પડશે કેમ કે હું મારા માતા-પિતાને પ્રેશર નહોતો આપવા માંગતો. 'બીજી સૌથી વધારે મથામણ જર્નીનો રૂટ નક્કી કરવાની હતી. આપણો દેશ સારો છે પણ આપણો પાસપોર્ટ એટલો સ્ટ્રોન્ગ નથી એટલે આટલા બધા દેશમાંથી વિઝા કેવી રીતે મેળવીશ તેની ચિંતા હતી.' 'માલ્ટાથી ભારતની આ સફરમાં એવી કોઇ કંપની પાસેથી હેલ્પ લેવા નહોતો માંગતો જે ક્લાયમેટને નુકસાન કરતી હોય એટલે પૈસા ક્યાંથી લાવવા એ પણ ચિંતા હતી. રૂટ ફાઇનલ થઇ ગયો પણ એ પછી પાછો એક પ્રશ્ન આવ્યો કે હવે સાયકલ સફર કરૂં કે ચાલતાં ચાલતાં કરું પણ પછી મેં ચાલતાં ચાલતાં જ સફર પૂર્ણ કરવાનું નક્કી કર્યું.' પદયાત્રાની અસર થશેજયદીપે ચાલીને જ યાત્રા કરવા પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે, ગાંધીજીએ પણ ક્રાંતિ લાવવા માટે પદયાત્રા કરી હતી. ઘણાં એવા સત્યાગ્રહો પદયાત્રા થકી થયાં હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા એ પછી તેની ઇમ્પેક્ટ પણ આવી હતી. જેથી મેં નક્કી કર્યું કે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ હવે આ યાત્રા ચાલીને જ પૂરી કરવી છે. રસ્તામાંથી કચરો એકઠો કરી જાગૃતિ લાવેમાલ્ટાથી નીકળતી વખતે જીબેલ નામની એક NGOએ જયદીપને બેગ આપી હતી. જેમાં અંદાજે 15 કિલો સુધી કચરો એકઠો થઇ શકે છે. જયદીપ જ્યાંથી પસાર થાય ત્યાંથી કચરો ઉપાડે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરે છે. 'મેં મારી સાથે ઓછા કપડાં અને ખાસ ટેન્ટ અને સ્લીપિંગ બેગ લીધી છે. થોડી ઘણી ખાવાની વસ્તુઓ લીધી છે. બાકી તો જે ખાવા મળે એ ખાઇ લેવાનું. બાકી ફ્રૂટ્સ તો મળી જાય છે.હું પાણી પીવા પર ખૂબ ભાર આપું છું, બાકી કોઇ ફિક્સ શિડ્યુલ નથી કેમ કે અહીંયા વાતાવરણ ખૂબ જ ખરાબ છે. એટલું તો નક્કી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય મારે રોજનું એવરેજ 30 કિલોમીટર તો ચાલવાનું છે તેવો મેં ટાર્ગેટ બનાવ્યો છે.' ઇરાન-પાકિસ્તાન થઇને ભારત આવશેઆ રૂટ અને દેશોની પસંદગી કેવી રીતે કરી એ અંગે પૂછતાં તેણે કહ્યું, મેં જ્યારે આ રૂટ પસંદ કર્યો ત્યારે ઇરાનમાં યુદ્ધ નહોતું ચાલતું. એટલે મેં ઇરાનનો રૂટમાં સમાવેશ કર્યો હતો. આ રૂટ પરથી જઉં તો મારે બહું ફરવા નહોતું જવું પડતું. રૂટમાં મેં પાકિસ્તાનની પણ પસંદગી કરી છે પણ હાલમાં એ અંગે કંઇ વિચાર નથી કર્યો. પાકિસ્તાની એમ્બેસી સાથે વાત થઇ હતી. જેમાં તેમણે મને કહ્યું હતું કે જો તમે 18 દેશ સફળ પૂર્ણ કરશો તો પછી અમારી ઉપર પણ પ્રેશર બનશે અને અમારે તમને વિઝા આપવા પડશે. અમે 99.9% તો વિઝા આપીશું જ. આટલો લાંબો રસ્તો પાર કરવાનો છે ત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ ન પણ હોય. આવા સમયે રસ્તો ભટકી ન જવાય તે માટે જયદીપે પ્લાન B પણ તૈયાર રાખ્યો છે.તેણે કહ્યું કે, મેં માલ્ટાથી ભારત સુધીના બધા જ રૂટની PDF બનાવીને રાખી છે એટલે જે જગ્યાએ ઇન્ટરનેટ નહીં હોય ત્યાં પણ હું સરળતાથી મારા રૂટ પર ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીશ. ઇટલીમાં પોલીસે રોકીને ફોટો પડાવ્યોઅત્યાર સુધીની યાત્રામાં જયદીપને સારા અને નરસા એમ બન્ને પ્રકારના અનુભવો થયા છે. આ અનુભવો તેણે શેર કર્યા.તેણે કહ્યું, ઇટલીમાં જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મને ત્યાંની પોલીસે રોક્યો હતો. એ પછી મારી પાસે રહેલું એક બેનર પોલીસે જોયું તો તરત જ તેમણે મને કંઇપણ પૂછપરછ કર્યા વગર મારી સાથે ફોટો પડાવ્યો અને મારી પહેલને બિરદાવી હતી. આવું લગભગ પાંચેક વાર મારી સાથે બન્યું હતું. આજ સુધી ક્યારેય કોઇપણ પોલીસે મારો પાસપોર્ટ કે બીજા કોઇ ડોક્યુમેન્ટ ચેક નથી કર્યા. 'થોડા દિવસો પહેલાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. રેડ એલર્ટ જાહેર કરાયું હતું એટલે કોઇ સુરક્ષિત જગ્યા નહોતી મળી. હું જે એરિયામાં હતો તે અવાવરું હતો. કેટલાક લોકો ત્યાં નશાની હાલતમાં પડ્યાં હતા તો કેટલાક ડ્રગ્સ એડિક્ટ હતા. અંધારું થવા લાગ્યું એટલે એ લોકોએ મારો પીછો કરવાનું શરૂ કર્યો. મને થોડો ડર લાગ્યો એટલે મેં ચાલવાની સ્પીડ વધારી. થોડા સમય પછી લાઇટવાળો વિસ્તાર આવ્યો એટલે થોડી હાશ થઇ. રહેવા માટે કંઇ નહોતું. મારી નજર એક ખંડેર ઘર પર પડી ત્યાં જઇને મારે રોકાણ કરવું પડ્યું કેમ કે ખૂબ પવન સાથે વરસાદ પડતો હતો.' માતાને ખબર પડી તો ભાવુક થઇ ગયાજ્યારે મારી માતાને ખબર પડી કે મારે આવી સ્થિતિમાં રોકાવું પડ્યું છે ત્યારે તેનો મને કોલ આવ્યો હતો. તે ખૂબ જ ઇમોશનલ થઇ ગયા કે તારે આવું બધું કરવાની ક્યાં જરૂર છે? પાછો આવી જા પણ ત્યારે મેં મારા સંકલ્પ વિશે વાત કરી અને કહ્યું કે હજુ આનાથી ખરાબ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. જયદીપ પોતાની સાથે એક બેબી વોકર લઇને નીકળ્યો છે. જેનો પણ રસપ્રદ કિસ્સો છે. તેણે કહ્યું કે, હું જ્યારે આ બેબી વોકર લેવા ગયો ત્યારે ત્યાંના વેપારીએ મને પૂછ્યું કે તમે આ શેના માટે લઇ જાઓ છો. મેં તેને મારો ઉદ્દેશ્ય જણાવ્યો તો તેમણે મને એ વોકર ડોનેશનમાં આપી દીધું. અત્યાર સુધીમાં વોકરમાં 5 થી 6 વાર પંચર પડ્યું હતું. સદભાગ્યે દરેક વખતે ગેરેજ મળી જતું હતું પણ થોડા દિવસ પહેલાં જ્યારે પંચર પડ્યું ત્યારે મને ગેરેજ ન મળ્યું. મારે હજુ 15 કિલોમીટર ચાલવાનું હતું. આવા સમયે મારો પહાડી અનુભવ કામ લાગ્યો. મેં ટાયર ખોલીને તેમાં કચરો ભર્યો અને પાછું ફિટ કરી દીધું. એક યાત્રાએ દ્રષ્ટિકોણ બદલી નાખ્યોસ્કૂલથી માંડીને કોલેજના અભ્યાસ દરમિયાન જયદીપ ટોપર રહ્યો હતો. તેણે કોમર્સનો અભ્યાસ કરીને CAમાં જવાની તૈયારી કરી હતી પણ પછી તેણે તેને લાગ્યું કે મને CAમાં રસ નથી. આના પછી તેણે ટૂર એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.તેણે કહ્યું કે, મારે રિયલ અને રૂરલ ઇન્ડિયા જોવું હતું. એ સમયે મારી ઉંમર 21 વર્ષની હતી. હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલતો પહોંચ્યો હતો. આ દરમિયાન હું નાના ગામડાંઓમાં જઇ નાના-નાના લોકોને મળીને ત્યાંની પરિસ્થિતિ જાણતો હતો. આ યાત્રાએ મારો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. ‘જ્યારે કોઇ યુવાન કોલેજમાં આવે ત્યારે તેના સપનાં મોટા હોય છે કે એક સારું ઘર ખરીદવું છે, મોંઘી ગાડીમાં ફરવું છે, દુનિયા જોવી છે. આ ટ્રિપ પછી મને સમજાયું કે જિંદગી જીવવા માટે આટલી બધી જરૂરિયાત નથી. સાદી જિંદગી જ આપણાં માટે સારી છે એટલે મારા સપનાં પણ બદલાઇ ગયા હતા.’ અભ્યાસ માટે માલ્ટા ગયોજયદીપને ધીરે ધીરે સ્પોર્ટસ અને એડવેન્ચરમાં રસ વધતો ગયો. તેણે કહ્યું કે, મેં અમદાવાદની ઇન્વિન્સીબલ NGO જોઇન કરીને ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે અંદાજે પાંચેક વર્ષ કામ કર્યું હતું. હું લોકોને એડવેન્ચર અને ટ્રેકિંગ કરાવતો હતો. એક સમય આવ્યો કે જ્યારે મને સામેથી માલ્ટા જવાની તક મળી અને એ પણ માત્ર પાંચેક લાખ રૂપિયા, એટલે હું ભણવા માટે માલ્ટા આવ્યો હતો. અંતે પરિવારને મનાવી જ લીધોપરિવારને આ મિશન માટે કેવી રીતે મનાવ્યો તેની વાત કરતા તે કહે છે કે, મેં પરિવારના સભ્યોને આ માટે સમજાવ્યાં કેમ કે દીકરો આવું કંઇ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તેની ચિંતા થાય જ. માલ્ટામાં હું ખૂબ સારી રીતે રહે હતો જ્યારે આ સફરમાં ક્યાં રહીશ, ભોજનમાં શું મળશે તેનું કંઇ નક્કી નથી હોતું પણ અંતે મેં પરિવારને મનાવી લીધો અને તેમણે મને સંમતિ આપી. ક્લીન ભારતનું સપનુંમિશન પૂર્ણ કર્યા બાદ આગળ શું કરવું છે તે અંગે તેણે કહ્યું કે, આ મિશન પૂર્ણ થશે એ પછી હું મારા ગામડેથી ક્લાયમેટ ચેન્જ બાબતે એક ઝુંબેશ શરૂ કરવા માંગુ છું. હું આ અંગે બધાને જાગૃત કરવા માંગુ છું. હું લોકોને સમજાવીશ કે આપણે કચરો કેમ ન કરવો જોઇએ. મારે વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કેમ કે તેમને સમજાવવા ખૂબ સરળ છે. જો એક વાર તે સમજી જશે તો એદાક દાયકા પછી ક્લીન ભારત જોવા મળશે.
અવધૂત ફાટક પાસે ગંભીર અકસ્માત સર્જાયો:એમ્બ્યુલન્સની મોપેડને ટક્કર,10 વર્ષીય બાળક સહિત 3 ઈજાગ્રસ્ત
સનફાર્મા રોડ પર રહેતા 2 બાળકોને પાડોશી યુવક મોપેડ પર ફરવા લઈ ગયો હતો. અવધૂત ફાટક પાસે ખાનગી એમ્બ્યુલન્સે મોપેડને અડફેટે લેતા 2 બાળકો રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. મોપેડ ચાલક યુવકને પણ સામાન્ય ઈજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવાઇ હતી. રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા શુભાંગીનીબેન પરમારના પતિ રાજુભાઇનુ મોત એક મહિના પહેલા જ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. તેમનો 10 વર્ષીય દીકરો મીત બુધવારે રાત્રે પિતાની વ્યથામાં રડી રહ્યો હતો અને બહાર જવાની જીદ પકડી હતી. જેથી શુભાંગીનીબેને પાડોશી યુવકને મીત અને 17 વર્ષીય દીકરી જાહ્નવીને મેળામાં લઈ જવા કહ્યું હતું. યુવક બાળકોને લઈને માંજલપુર અવધૂત ફાટક સામે આવેલા મેળામાં ફરવા માટે લઈ ગયો હતો. ત્યાંથી રાત્રે 12 વાગ્યે તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. ફાટક તરફથી પૂર ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે યુવકના મોપેડને અડફેટે લીધું હતું. જેના કારણે જાહ્નવી, મીત અને યુવક રોડ પર પટકાતા તેઓને ઈજા પહોંચી હતી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયોઅવધૂત ફાટક પાસે જ્યારે અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે યુવકને જણાવ્યું હતું કે, તમને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જાઉં છું. જોકે થોડી વારમાં ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી અન્ય વાહન ચાલક યુવતીએ 108માં કોલ કરતા એમ્બ્યુલન્સ આવી હતી અને ત્રણેયને સયાજી હૉસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
નવકાર મંત્ર દિવસ ઊજવાયો:નવકાર મંત્ર દિવસની 3 સ્થળે ઉજવણી, 16 હજાર જૈનોએ 17.28 લાખ જાપ કર્યા
જિતો દ્વારા વિશ્વ શાંતિના હેતુથી 3 સ્થળે નવકાર મંત્ર દિવસ ઊજવાયો હતો. આ પ્રસંગે આત્મીયધામ, માંજલપુરમાં ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. ત્રણેય સ્થળે મળી 17.28 લાખ જાપ કરાયા હતા. આત્મીય ધામમાં આયોજિત કાર્યક્રમમાં કન્વીનર પ્રશાંત શાહ અને જિતોના પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા. જ્યારે મોક્ષાનંદજી મહારાજે વલ્લભસૂરી મહારાજનો સંદેશ પાઠવી તમામ જૈનોને એક થવા હાકલ કરી હતી. સવારે લાભાર્થી પ્રકાશ શાહ પરિવાર દ્વારા નવકાર કુંભની શોભાયાત્રા કઢાઈ હતી અને સભા સ્થળે કુંભની સ્થાપના કરાઈ હતી. જિતોના વિમલ બોકડિયાએ કહ્યું કે, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં નવકાર મંત્રનું આયોજન કરાયું હતું. વલ્લભસૂરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ સર સયાજીરાવ નગરગૃહમાં આચાર્ય આગમરત્ન મહારાજની નિશ્રામાં જાપ યોજાયા હતા, તેમ શંકર મહેતાએ જણાવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે, ત્રણેય સ્થળોએ મળી 16 હજારથી વધુ જૈન શ્રાવકો મહાજાપમાં જોડાયા હતા. પદ્મશ્રી એવોર્ડી જૈનાચાર્યનું આગમનગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસુરી મહારાજ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ આચાર્ય છે. તેઓ 1800 કિમી વિહાર કરી પધાર્યા હતા. મંત્રનાં મૂલ્યો વિશે જાગૃતિ લવાશેચૈત્ર સુદ આઠમને નવકાર દિવસ જાહેર કરાયો છે. નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, પણ પંચ પરમેષ્ઠી ભગવંતોને કરાતું નમસ્કારનું સૂત્ર છે. નવકાર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં આ મંત્રનાં મૂલ્યો અને તેના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો છે.
પાલિકાની ચૂંટણી:4 દિવસમાં 939 ઉમેદવારી ફોર્મનું વિતરણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11મી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેમાં પાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડમાં 4 દિવસમાં 939 ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસના 3, ભાજપમાંથી 1 અને અપક્ષના ઉમેદવાર 1 મળીને 8 ઉમેદવારોએ ફોર્મ ભરી પરત કર્યાં છે. જ્યારે 4 દિવસમાં નગર પાલિકામાં 1657 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 280 ફોર્મ અને તાલુકા પંચાયતમાં 950 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ શહેરના ઉમેદવારોનું લિસ્ટ 10મીએ રોજ આવી શકે છે. જ્યારે શુક્ર-શનિવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પહોંચશે. કલેક્ટર કચેરી સહિતનાં સ્થળો પર ઉમેદવારોની ભીડ જોવા મળશે. 9 એપ્રિલે કુલ 851 ફોર્મનું વિતરણ થયું ફોર્મ ભરનાર ઉમેદવાર વોર્ડ નંબર 19: તાલુકા પંચાયત:
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 જેટલાં મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરાયાં છે. જેમાં એસી, બેબી વોકર, ફૂગ્ગો, બિસ્કિટ, બ્રેડ ટોસ્ટર, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો અપક્ષ ઉમેદવાર મેળવી શકે છે. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરાય છે. જોકે જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા અપાય છે. રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની 2 ટકા બેઠકો અથવા લઘુતમ 3 બેઠકો પર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 ટકા મળેલા હોવા જોઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. જ્યારે પક્ષ 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે, જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે. બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવાં મુક્ત પ્રતીકો માટે ડ્રો કરાતો હતોગુજરાતમાં એક સમય હતો કે, બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં માગ રહેતી હતી. આવાં પ્રતીકોના ડ્રો કરાતા હતા. જોકે હવે આવાં પ્રતીકો અનામત થઇ ગયાં છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ઘર-રસોડાની વસ્તુનાં 14, સાધનો-વેપારને લગતાં 18 પ્રતીકોનો સમાવેશપ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓનાં 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતાં 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતાં 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13, રમત-ગમતનાં 10 અને વાહનોને લગતાં 8 પ્રતીકો છે.
રોડ સેફ્ટી માટે 6 મુદ્દાનો એજન્ડા:ગોલ્ડન સહિતની 4 ચોકડીનાં દબાણનો સફાયો થશે
ગોલ્ડન ચોકડી, આજવા-વાઘોડિયા ચોકડી સહિતની ચોકડીની આસપાસનાં દબાણોનો સફાયો થાય તેવી શક્યતા છે. એનએચ-48 સહિતના રસ્તા પર માર્ગ સલામતી માટે પોલીસ કમિશનર કચેરી, એનએચએઆઇ અને અન્ય રોડ સેફ્ટી એક્સપર્ટ્સની માર્ગ સલામતી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વડોદરાની આસપાસના 7 બ્લેક સ્પોટ સહિતના માર્ગ સલામતી વિશેના 6 મુખ્ય મુદ્દાની ચર્ચા કરાઇ હતી. એસટીને બસ સ્ટોપ નક્કી કરવા સૂચના, વૃક્ષોની ટ્રિમિંગ કરાશે, રખડતાં ઢોર દૂર કરાશે દબાણ હટાવવા માટે 3 સત્તામંડળે જોડાવું પડશેએનએચએઆઇ નહીં અન્ય સત્તામંડળે પણ દબાણ દૂર કરવા જોડાવું પડશે. આજવા ચોકડી પર શહેર તરફથી બ્રિજ પહેલાંનો ભાગ પાલિકાનો અને ચોકડી નીચે અને રોડ એનએચએએઆઇ અને ચોકડી બાદ આજવા તરફનો રોડ આરએન્ડબીનો છે. દબાણ હટાવવા તમામે કાર્યવાહી કરવી પડશે. મ. પોલીસ કમિશનર જગદીશ વસાવાએ કહ્યું કે, ગોલ્ડન, આજવા, જાંબુઆ બ્રિજ સહિત 7 બ્લેક સ્પોટ ઓળખ્યા છે. દેણા-કોટાલી નજીકનો કટ બ્લેક સ્પોટમાંથી દૂર કર્યો છે.
ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના દાવેદારોની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરાઇ છે. જે યાદી શુક્રવારે સવારે જાહેર કરાશે. બોર્ડની બેઠકમાં પ્રદેશ મોવડી તરફથી ધારાસભ્યોને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે, તમે આપેલી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી, પણ ગુપ્તતા જાળવજો. યાદી જાહેર થવાની દિવસભર ચાલેલી ચર્ચા પર સાંજે પૂર્ણવિરામ મુકાયું હતું. ગાંધીનગરમાં સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત પાલિકાના દાવેદારોની યાદી પર ચર્ચા થઈ હતી. જેમાં સાંસદ, મંત્રી, વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો અને નિરીક્ષકોની હાજરી હતી. બપોરે 1 વાગે શરૂ થયેલી બેઠક દોઢ કલાક ચાલી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બેઠકમાં હાજર ધારાસભ્યોને ગુપ્તતા જાળવવા સ્પષ્ટ સૂચના આપી હતી. આધારભૂત સૂત્રો મુજબ ધારાસભ્યોને કહેવાયું છે કે, તમે જે યાદી મૂકી છે તેમાંથી નામ આવે પણ ખરા કે ના પણ આવે. માહિતી લીક થશે તો નામ કપાઈ શકે તેવી ગર્ભિત ચીમકી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારોનાં ફોર્મ ભરવા ભાજપમાં 10 નોટરી-10 ટાઇપિસ્ટ સહિત 50 વકીલોની ફોજ તૈયારઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ફોર્મ ભરવા દોડાદોડ થાય છે. ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવા વકીલોની ફોજ તૈયાર કરી છે. ધારાશાસ્ત્રી નેહલ સુતરિયાએ કહ્યું કે, ફોર્મ ભરવા શુક્રવારે કાર્યાલયમાં 50થી વધુ વકીલોની ફોજ તૈયાર છે. 10 નોટરી, 10 ટાઇપિસ્ટ, બેથી ત્રણ સ્ટેમ્પ વેન્ડર તૈયાર રખાયા છે. અંદાજ મુજબ 1 ફોર્મ ભરી અને તેને પૂર્ણ કરી રવાના કરતાં 30 મિનિટથી એક કલાકનો સમય થાય છે. બળવાખોરી ડામવા ભાજપ-કોંગ્રેસે ગુરુવારે યાદી જાહેર ન કરી!જાણકારોના મતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ગુરુવારે સાંજે યાદી જાહેર કરે તેવી શક્યતા હતી. જોકે યાદી જાહેર થાય તો જેમનાં નામ કપાયાં છે તેઓ અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી શક્યતાઓ હતી. બળવાખોરીને ખાળવા માટે બંને પક્ષે યાદી જાહેર કરી નથી. બીજી તરફ ભાજપમાં 4 વોર્ડમાં કોકડું ગૂંચવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘરમાં શૌચાલય હોવાના દાખલા માટે લાઈનો લાગીફોર્મ ભરવા માટે ઘરનો વેરો ભરેલો હોય તેની પાવતી, શૌચાલયનો દાખલો અને સોગંદનામાની જરૂર પડે છે. જેથી 19 વોર્ડમાં શૌચાલયનો દાખલો લેવા દાવેદારોની લાંબી લાઈનો લાગી હતી. ચૂંટણી શાખામાંથી મતદાર યાદીમાં હોવા અંગેનાં 1500 પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યા છે. કાઉન્સિલરે દિવસભર એકબીજાને ફોન કર્યા, તમને કોઈ કોલ આવ્યો? પ્રદેશમાંથી ફોન આવ્યાનાં પડીકાં સવારથી વહેતાં થયાં હતાં. પશ્ચિમ વિસ્તારના વોર્ડ પ્રમુખને તૈયારી કરવા કહ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. જ્યારે દક્ષિણ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરે દસ્તાવેજોની તૈયારી શરૂ કરતાં અન્યના ફોન ગયા હતા. સુરેન્દ્રનગર-અરવલ્લીની યાદી જાહેર થતાં દાવેદારોમાં ઉત્સુકતા વધી ગઈયાદી માટે ઉમેદવારોમાં આતુરતા જોવા મળી હતી. સાંજે સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં યાદી જાહેર થતાં શહેરના પૂર્વ કાઉન્સિલરો અને દાવેદારોએ યાદી માટે પ્રદેશ અને શહેરના નેતાઓને ફોન કરી પૃચ્છા કરી કે, યાદી જાહેર થઈ ગઈ?
બેંક સહિત નાણાકીય સંસ્થામાં વારંવાર કેવાયસીની પ્રક્રિયા લોકો માટે માથાના દુખાવા સમાન બનતી હોય છે. જોકે હવે જીવનભર કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. સરકારે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી સિસ્ટમ લાગુ કરી છે. સીકેવાયસી પોર્ટલ પર કેવાયસીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે પછી રજિસ્ટર મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી પર 14 નંબરનો આંકડો મળશે. જે આપતાં જ કેવાયસી થઈ જશે. આ સિસ્ટમ પેન્શનરો, પીએફના ખાતાધારકો માટે રાહતરૂપ છે. ગુજરાતની કન્વીનર બેંક અને પ્રધાન કાર્યાલય બેંક ઓફ બરોડાએ CERSAI સાથે મળી 2 એપ્રિલે વડોદરામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCRR) જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરવા પડશે 1. CKYC પોર્ટલ પર પોતાના KYC દસ્તાવેજોની નોંધણી કરાવી તેને અપલોડ કરવાના રહે છે. 2. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 આંકડાનો CKYC નંબર જનરેટ થાય છે. 3. આ નંબરની જાણ ગ્રાહકને મોબાઈલ પર SMS અને ઈ-મેલ દ્વારા કરવામાં આવે છે. 4. આ નંબરનો ઉપયોગ નાણાકીય સંસ્થામાં કરી શકાય છે, જેથી વારંવાર દસ્તાવેજો આપવા નહીં પડે. જીવનભર દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહેસીકેવાયસી હેઠળ 14 આંકનો નંબર આપ્યા બાદ બેંક કે નાણાકીય સંસ્થામાં કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. 14 આંકડાનો નંબર આપતાં કેવાયસી થઈ જશે. ધારો કે તમે આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું, તો કોઈ પણ બેંકમાં અપડેટ કરાવશો તો સીકેવાયસીમાં અપડેટ થઈ જશે. > લોકેશ ગુપ્તા, ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા કેવાયસી ન કરાવો તો શું અસર થશે?
કાર્યવાહી:જામનગરમાં રૂ.60 લાખના ચીટીંગમાં આપ સૌરાષ્ટ્ર પ્રભારી સહિત બેની ધરપકડ
જામનગર શહેરના બ્રાસપાર્ટના વેપારીના જીએસટી એકાઉન્ટમાં રૂ.60 લાખ ભરવા માટે મેળવી લઈને આપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખસોએ ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગરના રાજકિય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરીનં-11માં રહેતા ભાવેશભાઈ અમૃતભાઈ પરસોત્તમભાઈ તરાવિયા (ઉ.વ.37) નામના વેપારી શ્રી કલ્પ એન્ટરપ્રાઈ નામની બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવે છે. વેપારીને વર્ષ 2025માં જીએસટી વિભાગ દ્વારા નોટીસ મળી હતી. તેઓનું જીએસટી એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ હોવાથી ફરી પોતાનું જીએસટી એકાઉન્ટ ચાલુ કરવા માટે જગદિશભાઈ રમેશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. આરોપી જગદીશ રામોલિયાએ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રભારી પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગાને વકીલ તરીકે વેપારી સાથે મળાવ્યા હતા. જેથી વેપારીએ તેઓ ઉપર વિશ્વાસ મુકીને વર્ષ 2025ના ઓકટોબર માસના 17 તારીખે રૂ.60 લાખ જીએસટી એકાઉન્ટમાં ભરવા માટે આપ્યાહતા. જીએસટી એકાઉન્ટ બંધ થયેલ હોય તે ચાલુ કરાવવા સહિતની કામગીરી માટે ફી પણ ચુકવવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓએ રૂપિયા વેપારીના જીએસટી એકાઉન્ટમાં નહીં ભરી પોતાના અંગત ઉપયોગમાં લઈ ઓળવી ગયા હતા. આજદીન સુધી રૂપિયા પણ પરત ન આપતા વેપારીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની પીઆઈ જે.વી.રાઠોડએ તપાસ હાથ ધરી છે અને જગદીશ રામોલીયા અને પ્રકાશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ આગામી 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમની યજમાની કરી રહ્યું છે, ત્યારે શહેરમાં આ સ્પોર્ટ્સ કાર્યક્રમ માટેની તૈયારીની સમિક્ષા માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડન્ટ ડોનાલ્ડ રૂકારે, સીઇઓ કેટી સેડલિયર સાથે ગેમ્સ એન્ડ એશ્યોરન્સના ડિરેક્ટર ડેરેન હોલ સહિતના પ્રતિનિધિ મંડળ અમદાવાદ ખાતે આવ્યું હતું. મ્યુનિ. કમિશનર બંછા નીધિ પાની દ્વારા આ પ્રતિનિધિ મંડળ સમક્ષ અમદાવાદની તૈયારીની રૂપરેખા આપતું પ્રેઝન્ટેશન તૈયાર કરી બતાવવામાં આવ્યું હતું. મ્યુનિ.ના પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતુંકે, અત્યારે અમદાવાદ શહેરમાં નારણપુરા, મેમ્કો અને વસ્ત્રાલ ખાતે 3 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર છે. આગામી દિવસોમાં નવા 11 જેટલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. તેમજ સ્પોર્ટસને લગતી પ્રવૃત્તિ માટે અમદાવાદ શહેર સંપુર્ણ પણે તૈયાર હોવાનું જણાવાયું હતું, નોંધનીય છેકે, આ પ્રતિનિધિ મંડળે ગઇકાલે જ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આજે રીવરફ્રન્ટ પર આ પ્રતિનિધિ મંડળ સાથે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ ટીમ આવતીકાલે કાંકરીયા ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લેશે. તે સિવાય ટીમના કેટલાક સભ્યો આવતીકાલે સરદાર સરોવર ડેમની તેમજ વડોદરાની મુલાકાત લેશે. 11 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આગામી દિવસોમાં ગોતા, રાણીપ, નરોડા સહિતના વિવિધ વિસ્તારમાં બનશે. ટીમ દ્વારા પ્રેઝન્ટેશન જોયા બાદ અમદાવાદ દ્વારા ટાઇમ બાઉન્ડ ગુણવત્તાસભર સ્પોર્ટ્સના વિકાસને ગતિ આપવામાં આવી રહી હોવાની બાબતની નોંધ લેવામાં આવી છે. અમદાવાદ શહેરને રમતગમતનું કેન્દ્ર બનાવવા માટેની પણ તૈયારીની પ્રસંશા કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ, સીઈઓ અને ડિરેક્ટરે અમદાવાદની સમીક્ષા કરી
અકસ્માત:તાલાળી- સનાળી રસ્તા પર હિટ એન્ડ રનમાં સુરતના યુવાનનું મોત
તાલાળી ગામથી સનાળી ગામે જવાના રોડ પર થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં સુરત નિવાસી એક યુવાનનું મોત થતાં વિસ્તારમાં શોક છવાયો છે. બનાવ અંગે વાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. ગઈ કાલે સાંજના આશરે આઠ વાગ્યાના સમયે સુરત પંચામૃત સોસાયટી ખાતે રહેતા નયનભાઈ શંભુભાઈ ગોળકિયા (ઉ.વ.34)ના ભાઈ GJ-05-PB-7598 નંબરનું બાઇક લઈને સણોસરા ગામેથી સનાળી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તાલાળીથી સનાળી જવાના રસ્તે, સનાળી ગામની હદ નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફરિયાદના આધારે વાડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ:રાજુલાની યુવતીએ સાસરિયા સામે દહેજ માટે ત્રાસ આપ્યાની રાવ કરી
રાજુલાની એક યુવતીને તેના પતિ અને સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવારનવાર દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા પતિ સહિત 5 સામે ગુન્હો નોંધાયો છે. હાલ રાજુલાના ફ્રેન્ડ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન ગૌરાંગભાઈ મકવાણા (ઉ.વ.30) એ પોતાના પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા સહિત સાસરીયા પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કે, તેઓના લગ્ન બાદ તા.17 માર્ચ 2025થી તા.7 જૂન દરમિયાન અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટી તથા રાજુલા ખાતે રહેતી વખતે પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર દ્વારા દહેજ માટે અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. દહેજ ન લાવવાના મુદ્દે સાસરિયા પક્ષ દ્વારા ક્રિષ્નાબેનને મારપીટ કરવામાં આવતી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી તેમજ વારંવાર મેણા-ટોણા મારી માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા, હંસાબેન નરસિંહભાઈ મકવાણા, ચેતનાબેન જયેશકુમાર ટાંક, મયુર નરસિંહભાઈ મકવાણા અને નરસિંહ ભગવાનભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ધરપકડ:યુવકનો બિભત્સ વીડિયો ઉતારી 5 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાઇ ગયા
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ તેનો બિભત્સ વિડીયો ઉતારી મારમારી રોકડ તથા મોબાઈલની લૂંટ કરી પાંચ લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ખંડણી અને લૂંટ અંગેની ફરિયાદ ગઈકાલે રાજુલા પોલીસ મથકમાં નોંધાઈ હતી. વારાસ્વરૂપ ગામના યુવકને રાજુલાના હિંડોરણા નજીક બાવળની કાંટમાં બોલાવી 5 શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. રાજુલાની સમીનાબેન સબીરભાઈ સેલોત, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને હિંડોરણાના કરણ દંતુભાઈ પટાટ સહિત પાંચ શખ્સોએ આ યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં મહિલા સાથેનો તેનો વિડીયો ઉતારી ધમકી આપી 1950ની રોકડ અને મોબાઈલની લૂંટ કરી હતી. ઉપરાંત 5 લાખની ખંડણી પણ માંગી હતી. રાજુલાના પીઆઈ વી.એમ.કોલાદરા તથા સ્ટાફે આજે આ બારામાં સમીના ઉપરાંત કરણ અને જીતેન્દ્રની ધરપકડ કરી હતી. તેની પાસેથી રોકડ, પાંચ મોબાઈલ અને બાઈક મળી રૂપિયા 77,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
કામગીરી:દોલતી ગામમાં જાગૃત નાગરિકે 10 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવી
સાવરકુંડલા તાલુકાનાં દોલતી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દોલતી ગામની દસ વીઘા જમીન ઉપર દબાણ ખુલ્લુ કરવા જાગૃત નાગરિકે રજુઆત કરી હતી. જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે 10 વીઘા ગૌચર જમીન ખુલી કરાવેલ છે. દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાદુએ સરકારમાં રજૂઆત કરતા દોલતી ગામના સરપંચ કાળુભાઈ વાઘમશી, પંચાયતના સભ્ય નરસિંહભાઈ કાછડ, ભરતભાઈ બલદાણીયા, દાદાભાઈ ચાંદુ તેમજ દોલતી ગામના આગેવાનોએ રમેશભાઈ અને તેમના બે ભાઈઓ પાસેથી 10 વીઘા ગૌચરણ જમીન ખાલી કરી આપેલ હતી. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાંદુ દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવેલ હતી. તેમાં હજુ દોલતી ગામના 42 જેટલાં દબાણો ગૌચરમાં કરવામાં આવેલ છે. આગામી સમયમાં પંચાયત દ્વારા તમામ દબાણો દુર કરવામા આવશે તેમ જાણવા મળેલ છે.
ગેસ ધારકોની હાલત કફોડી:સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર મેળવવા સવારે 6 વાગ્યેથી લોકોની લાઈનો લાગી
સાવરકુંડલા શહેરના દેવળા ઝાંપા વિસ્તારમાં આવેલી ઈન્ડેન ગેસ એજન્સીમાં હાલ ગેસ ધારકોની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી અહીં ગ્રાહકોની સમસ્યાઓ અને વ્યથા સાંભળનાર કોઈ નથી જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણી અને સંયોજક બિપીનભાઈ પાંઘી તથા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો વહેલી સવારે સ્થળ પરની રૂબરૂ મુલાકાત લેતાં ગ્રાહકોની સમસ્યા, વ્યથા અને હાલાકી જોવા મળી હતી. વહેલી સવારથી જ ગેસ ધારકો પોતાનું કામ ધંધો તથા દુકાનો બંધ રાખીને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે. કલાકોની પ્રતીક્ષા બાદ પણ ઘણીવાર સર્વર ડાઉન હોવાના બહાના અથવા સ્ટોક પૂરો થઈ ગયા હોવાનું કહી ગ્રાહકોને પરત મોકલવામાં આવે છે. અમુક ગ્રાહકો તો ચાર પાંચ દિવસથી ધક્કા ખાય છે અને છેલ્લે સિલિન્ડર વગર પરત ફરે છે. ઘણી બધી મહિલાઓ રસોડામાં ગેસનો બાટલો પૂરો થઈ ગયો હોવાથી ચૂલા દ્વારા રસોઈ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. ઘણા બધા લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલ અને ઓટીપી આવી જવા છતાં ગેસ એજન્સીએ પહોંચે ત્યારે રસોઈ ગેસના સિલિન્ડર ખલાસ છે એવો જવાબ પણ મળે છે. સાવરકુંડલામાં ભાઈઓ અને બહેનો વહેલી સવારે આવીને ઈન્ડેન ગેસની ઓફિસે આવી જાય છે છતાં ગેસ સિલિન્ડર મેળવવામાં નિષ્ફળ રહે છે. વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં ઊભા રહેવું પડે છે જે તેમની વ્યથામાં વધારો કરે છે. ગ્રાહકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
સારવાર:અમરેલી તાલુકાના બાળકને હૃદયનુંવિનામૂલ્યે ઓપરેશન કરી અપાયું
રાજ્ય સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકો માટે આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાના ભાગરૂપે અમરેલી તાલુકામાં એક બાળકે હૃદયરોગની સારવાર મેળવી સફળ ઓપરેશન કરાવ્યું છે. અમરેલી તાલુકાની RBSK ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન બાળકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હૃદય સંબંધિત સમસ્યા હોવાનું જણાતા એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.એમ. જોષી, RCHO ડૉ. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જાટના માર્ગદર્શન હેઠળ RBSK ટીમના ડૉ. વસીમ ભટ્ટી, ડૉ. સુનેહરા કુરેશી, ઉર્વશી સોલંકી અને દર્શના ગરેજા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જેનું તા. 26 જુલાઈ 2025ના રોજ હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે અને નિયમિત ફોલોઅપ કરવામાં આવી રહ્યો છે.
અકસ્માત:લીલીયામાં સનાળીયાના રસ્તા પર અન્ય રિક્ષાનું મીલર ભટકાતા છકડો રિક્ષા પલ્ટી મારી: 1નું મોત
લીલીયાના સનાળીયા માર્ગ પર છકડો રીક્ષાનો અક્સ્માત થયો હતો. અહીં અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર છકડો રીક્ષા સાથે ભટકાતા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. લીલીયાથી ખારા ગામ જતી છકડો રીક્ષા સાથે અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર અથડાવાથી અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષામાં 8 મુસાફરો સવાર હતા. રીક્ષા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ખારા ગામના દેવાભાઈ કાનાભાઈ બતાડા (ઉ.વ.60) નું મોત થયું હતું. જ્યારે ખારાના દેવુંબેન અરવિંદભાઈ પરમાર (ઉ.વ.16), યસ્વી મનુભાઈ ગોંડલિયા (ઉ.વ.15) અને પુનાભાઈ શવશીભાઈ માણસુરીયા (ઉ.વ.70)ને ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભયનો માહોલ:મિતિયાળા ગામ 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ધ્રુજ્યું : રાત્રે વધુ 7 વખત કંપન
સાવરકુંડલા તાલુકાના વીરકાથાના મિતિયાળા પંથકમાં ધરતીના પેટાળમાં 10 કિ.મી ની ઊંડાઈ પર સતત હલચલ થઈ રહી છે જેને પગલે ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે એક પખવાડિયા દરમિયાન બે વખત ભૂકંપ આવ્યા હતા ત્યારબાદ ગઈકાલથી ફરી એકવાર હળવા ભૂકંપનો ચાલુ થયો છે. ગઈકાલ રાતથી આજે સવાર દરમિયાન ભૂકંપના સાત આંચકા અનુભવાયા હતા ગઈકાલે પણ રાતના સમયે સાત આંચકા અનુભવાયા હતા આમ અહીં માત્ર 30 કલાકના ગાળામાં 14 વખત ધરતીકંપ આવ્યો હતો જો કે દરેક વખતે ધરતી કંપની માત્રા હળવી જોવા મળી હતી. રાત્રે 1:14 મીનીટે 3ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. બાદમાં રાત્રે 1.37 મીનીટ 1.1 ની તિવ્રતાનો, સવારે 8.58 મીનીટે આવ્યો 1.5 ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો મીતીયાળા સાથે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા, ઈંગોરાળા સહિતના ગામોમાં આંચકાનો અનુભવ થયો હતો. ગાંધીનગર સિસમોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી હતી. મકાનોમાં તિરાડો પડવા માંડી !મીતીયાળામાં સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. જોકે અહીં મોટી તીવ્રતાના આંચકા આવતા ન હોય કોઈ મોટું નુકસાન થઈ રહ્યું નથી.
ચૂંટણી:એક જ દિવસમાં તાલુકા પંચાયત માટે 61, જિલ્લા પંચાયત માટે 10 અને પાલિકા માટે 9 ફોર્મ ભરાયા
અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપરાંત 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે એક જ દિવસમાં 80 ફોર્મ ભરાયા હતા. નગરપાલિકા માટે 9, તાલુકા પંચાયત માટે 61 અને જિલ્લા પંચાયત માટે વધુ 10 ફોર્મ ભરાયા છે. જિલ્લામાં કુલ 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, ધારી અને દામનગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી છે. આજે અમરેલી, સાવરકુંડલા અને બાબરા નગરપાલિકા માટે ત્રણ ત્રણ ફોર્મ ભરાયા હતા. આવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બગસરા અને સાવરકુંડલામાં ધસારો જોવા મળ્યો હતો. બગસરામાં 15 અને સાવરકુંડલામાં 10 ફોર્મ ભરાયા હતા. જ્યારે લીલીયા તાલુકા પંચાયત માટે 9 ફોર્મ ભરાયા હતા. એકંદરે 11 પંચાયતના કુલ 61 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં આજે વધુ 10 ઉમેદવારી સામે આવતા અત્યાર સુધીમાં 17 ફોર્મ ભરાયા છે. હવે ઉમેદવારી નોંધાવવા માટે બે દિવસ બાકી રહ્યા છે. ફોર્મ ભરાવના અંતિમ દિવસે સૌથી વધુ ધસારો જોવા મળશે. બગસરા, ધારી અને દામનગર પાલિકામાં એક હજુ પણ ફોર્મ નહીઅમરેલી જિલ્લાની છ નગરપાલિકા પૈકી બગસરા, ધારી અને દામનગર નગરપાલિકામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી નથી. આવી જ રીતે કુંકાવાવ, વડીયા અને ખાંભા તાલુકા પંચાયત માટે પણ હજુ સુધી એકેય ઉમેદવારી થઈ નથી.
કાર્યવાહી:જાફરાબાદમાંથી શંકાસ્પદ પશુનું 16 કિલો માંસ ઝડપાયું
જાફરાબાદ ખાતે લાઈટ હાઉસ રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસની સામે શંકાસ્પદ પશુનું માંસ મળી આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સવારે અંદાજે 11:45 કલાકે ફિશરીઝ ઓફિસ સામે એક એક્ટીવા સ્કૂટરમાંથી આશરે 16 કિલો જેટલું શંકાસ્પદ પશુનું માંસ મળી આવ્યું હતું. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ મોહનભાઈ શિયાળે જાણ કરી હતી. રૂપિયા 3200નું માસ કબ્જે કરવામાં આવ્યું છે. સાથે જ કિંમત રૂ.20,000નું GJ-14-BC-4682 નંબર વાળું મરૂન કલરનું સ્કૂટર પણ કબજે કરી લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
DLSS શાળાના છાત્રો ઝળક્યા:અમરેલીના 2 વિદ્યાર્થીએ સુવર્ણ, રજત પદક જીત્યા
અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અનેક રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન સ્પર્ધાની 5 કિલોમીટર દોડમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા, DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જેમાં દીપાલી મેર શાનદાર દોડ સાથે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે એંજલ કુકડિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત પદક પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓની આ સિદ્ધિ તેમની દૃઢ મહેનત, નિયમિત તાલીમ અને નિષ્ઠાનું પરિણામ ગણાય છે. અનુભવી કોચ અને ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સતત તાલીમ આપવામાં આવતી હોવાથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટરના રાજ્યોગીની કિંજલદીદી તેમજ બ્રહ્માકુમારી બહેનોની હાજરીમાં વિજેતા ખેલાડીઓ અને કોચ-ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

30 C