SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો મામલો:મૃતકના પુત્ર હરેશ પટેલે યુકેની AAIBને લખ્યો પત્ર, પ્રાથમિક અને મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાનો મળ્યો જવાબ

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલા એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માતને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. છતાં મૃતકોના પરિવારોમાં અસંતોષ અને પ્રશ્નો યથાવત્ છે. ખાસ કરીને બ્રિટનના નાગરિકોના પરિવારો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને હજુ સુધી ઘટનાનું સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં 279 સંખ્યામાં લોકોનાં મોત થયા હતા, જેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ હતા. બ્રિટિશ નાગરિક હરેશ પટેલના પિતા કુબેરભાઈ અને માતા બેબીબેન પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા.હરેશ પટેલે યુકેની Air Accidents Investigation Branch (AAIB)ને પત્ર લખ્યો હતો. જેનો પ્રત્યુત્તર AAIB એ તેમને આપ્યો હતો કે, પ્રિય શ્રી પટેલ, 12 જૂન 2025ના અમદાવાદ (ભારત) ખાતે એર ઈન્ડિયા ફ્લાઇટ 171ના અકસ્માત અંગે તાજેતરમાં AAIBનો સંપર્ક કરવા બદલ આભાર. હું આ તપાસમાં AAIB ઈન્ડિયા માટે નિમાયેલ “Expert” છું. અકસ્માતની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે આપના નુકસાન માટે મારી હાર્દિક સંવેદના સ્વીકારશો. તમારા ઈમેલમાં તમે લખ્યું હતું કે AAIB ઈન્ડિયા તપાસમાં “Expert status” ધરાવે છે. આ સ્થિતિએ કારણે છે કે આ અકસ્માતમાં યુનાઇટેડ કિંગડમના નાગરિકોના મૃત્યુ થયા હતા, અને આ આંતરરાષ્ટ્રીય નિયમો (Annex 13 – Convention on International Civil Aviation) મુજબ છે. એક Expert તરીકે, મને અને મારી ટીમને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનો અધિકાર હતો. અમને AAIB ઈન્ડિયા દ્વારા જાહેર કરવા માટે મંજૂર માહિતી મેળવવાનો અને અંતિમ રિપોર્ટની નકલ મેળવવાનો અધિકાર છે.પરંતુ, મને તપાસના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. એટલે કે, યુનાઇટેડ કિંગડમ તમારા માગ્યા મુજબ સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરી શકતું નથી. તમારા ટેકનિકલ પ્રશ્નો અંગે – પ્રાથમિક (preliminary) રિપોર્ટ હંમેશા અંતિમ નથી હોતો અને આગળની તપાસ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે. અમેરિકાનો National Transportation Safety Board (NTSB) આ તપાસમાં સંપૂર્ણ રીતે જોડાયેલો છે, કારણ કે તે વિમાનના ડિઝાઇન અને ઉત્પાદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે.NTSB અને તેની સલાહકાર કંપની Boeing એ ઉપલબ્ધ ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કર્યું છે અને તેમનું વિશ્લેષણ AAIB ઈન્ડિયાની તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે આપના પ્રશ્નોના જવાબ અંતિમ રિપોર્ટમાં મળે. હું આપને સલાહ આપું છું કે માત્ર પ્રાથમિક રિપોર્ટ અથવા મીડિયા રિપોર્ટિંગના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો નહીં.હું સમજું છું કે અંતિમ રિપોર્ટ માટે રાહ જોવી આપ અને અન્ય પરિવારો માટે મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે ઘણા પ્રશ્નો બાકી હોય. મેં તાજેતરમાં AAIB ઈન્ડિયાને પૂછ્યું હતું કે રિપોર્ટ ક્યારે આવશે, પરંતુ તેમણે કોઈ તારીખ આપી નથી.આ પ્રકારના રિપોર્ટ તૈયાર થવામાં સમય લાગે છે, કારણ કે તપાસ સંસ્થાઓ સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવા માંગે છે, અને તેથી અગાઉથી ચોક્કસ તારીખ જણાવવી મુશ્કેલ હોય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:51 pm

સુરતમાં ‘ભોલુ’ નામથી ફસાવનાર આરોપીને આજીવન કેદની સજા:15 વર્ષની કિશોરીને ઓળખ છુપાવી મિત્રતા કેળવી બિહાર ભગાડી ગયો'તો, કોર્ટે 10.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો

સુરતના પૂણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનામાં સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી જબીઉલ્લાહ આલમે પોતાની સાચી ઓળખ છુપાવી ‘ભોલુ’ નામ ધારણ કરી પડોશમાં રહેતી 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હિન્દુ નામ ધારણ કરી કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ આરોપીએ તેણીનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ યોગેશ પાટીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. ગાર્ડનમાં દુષ્કર્મ ગુજારી બિહાર ભગાડી ગયો હતોકેસની વિગતો મુજબ આરોપી જબીઉલ્લાહ 19 વર્ષની ઉંમરનો હતો, ત્યારે તેણે સગીરાને લલચાવી ફોસલાવી હતી. જૂન 2025 પહેલા તે સગીરાને મહાનગરપાલિકાના ગાર્ડનમાં મળવા બોલાવતો હતો અને ત્યાં જ અનેકવાર તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ફક્ત એટલું જ નહીં, આરોપી આ કિશોરીનું અપહરણ કરીને તેને બિહાર લઈ ગયો હતો, જ્યાં પણ તેણે સગીરા પર સતત અત્યાચાર ગુજાર્યો હતો. નામ બદલીને છેતરપિંડી કરવી ગંભીર બાબતસેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ કેળવવા માટે પોતાનું ખોટું નામ ધારણ કર્યું અને બાદમાં તેણીનું અપહરણ કર્યું, આ કૃત્ય અત્યંત ધૃણાસ્પદ છે. ખાસ કરીને ઓળખ છુપાવીને કરવામાં આવતા આવા ગુનાઓને સમાજ માટે જોખમી ગણાવી કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ગંભીર અપકૃત્યને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય નહીં. આરોપીને આજીવન કેદ અને 10.50 લાખનું વળતર ચૂકવવા હુકમબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી જબીઉલ્લાહ આલમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. સજાની સાથે સાથે પીડિતાના પુનર્વસન માટે કોર્ટે આરોપીને રૂ. 10.50 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ ખોટી ઓળખ આપી સગીર વયની બાળકીઓને શિકાર બનાવે છે. સરકારી વકીલની દલીલો નિર્ણાયક સાબિત થઈઆ સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી યોગેશ પાટીલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ સોશિયલ એન્જિનિયરિંગ અને ઓળખની છેતરપિંડી દ્વારા એક માસૂમ કિશોરીનું જીવન બરબાદ કર્યું છે. કોર્ટે તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને રાખીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ન્યાયી ચુકાદો આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:36 pm

RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી:બળવાના ડરે કોંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરવાનું ટાળ્યું, ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાશે

રાજ્યની 10 હજારથી વધુ પાલિકા-પંચાયતની બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે (11 એપ્રિલે) અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતા કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરાતા દાવેદારોના હાર્ટબીટ વધ્યા છે. યાદી જાહેર થયા બાદ સંભવિત બળવાને ખાળવા માટે પાર્ટી દ્વારા આવતીકાલે તમામ ઉમેદવારોને મેન્ડેટ આપી સીધા ફોર્મ જ ભરાવી દેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનયી છે કે, કોંગ્રેસ અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડોદરા અને મોરબી મહાનગરપાલિકાના 243 ઉમેદવારોની એક જ યાદીની જાહેરાત કરી છે. વિરોધની સંભાવનાના પગલે કોંગ્રેસ કાર્યાલયના બદલે અન્ય સ્થળે બેઠક યોજીગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક ગુપ્ત સ્થળે કરતા હોવાથી રાજીવ ગાંધી ભવન પર કોઈ માહોલ મળી રહ્યો નથી. માત્ર બોડીગાર્ડ અને કેટલાક કાર્યકર્તાઓ જ કામગીરી કરતા જોવા મળ્યા હતા.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખને જ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત સ્થળ પર યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામની પંસદગી કરી લેવામાં આવી છે. ઉમેદવારોની જાહેર કરવાના બદલે સીધા મેન્ડેન્ટ આપવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. નેતાઓની ખેંચતાણ અને જૂથવાદના કારણે પ્રભારીઓને મેન્ડેટ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પ્રભારીઓ મેન્ડેન્ટની ફાળવણી કરશે. અમદાવાદ મનપાના કેટલાક ઉમેદવારોનું કોકડું ગૂંચવાયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી રહેલા ઉમેદવારોને બપોર ટેલિફોનીક જાણ કરી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, જમાલપુર, શાહપુર, ચાંદખેડા વોર્ડમાં સિનિયર નેતાઓ દ્વારા લોબિંગ કરવામાં આવ્યું છે. જેથી આ વોર્ડમાં ઉમેદવારોને બપોર પછી ટેલિફોનીક ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવશે. વિવાદિત બેઠક પરના ઉમદેવારના મેન્ડેટ પણ સીધા ઓફિસ પર જ પહોચાડવામાં આવશે. વિવાદ ન સર્જાય તે માટે ટેલિફોનીક જાણ કર્યા બાદ ઔપચારિક યાદી જ જાહેર કરવામાં આવશે. RJ આભાને કોંગ્રેસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 10માં ટિકિટ આપીરાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે RJ આભાને ઉમેદવાર જાહેર કર્યા. RJ આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. આભા ફેસબુકમાં 160K ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309K ફોલોઅર્સ ધરાવે છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારો જાહેર કરાયા હતા

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:27 pm

સુરત મનપા ચૂંટણી, આજે 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા:ભાજપમાં 'સસ્પેન્સ' યથાવત રહેતા છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા 30 લીગલ એડવાઈઝરની ફોજ તૈનાત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે. શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં શુક્રવાર રાત્રે 8 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના ઉમેદવારોના નામ જાહેર ન થતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના 64 ઉમેદવારોએ આજે શુક્રવારે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપે છેલ્લી ઘડીની દોડધામને પહોંચી વળવા માટે ખાસ લીગલ પેનલ તૈયાર કરી છે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય તે માટે લીગલ એડવાઈઝરની પેનલ તૈયારસુરત ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી છે. શુક્રવારે રાત્રે 8:30 વાગ્યા સુધી સત્તાવાર યાદી ન આવતા એક પણ ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જોકે, સંગઠન દ્વારા આંતરિક રીતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લી ઘડીએ નામ જાહેર થાય અને ફોર્મ ભરવામાં કાયદાકીય ટેક્નિકલ ભૂલ ન રહી જાય તે માટે વોર્ડ દીઠ ખાસ લીગલ એડવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. ચાર ઉમેદવારો વચ્ચે એક લીગલ એક્સપર્ટની ફાળવણી કરવામાં આવી છે, જેઓ રાતભર ઉમેદવારોના એફિડેવિટ અને ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ કરશે. બીજા દિવસે કુલ 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યાશુક્રવારે સુરતના વિવિધ ઝોનલ ઓફિસો ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ જમા કરાવ્યા હતા. આજે કુલ 64 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં ફોર્મ ભરનારાઓની કુલ સંખ્યા 74 પર પહોંચી ગઈ છે. શનિવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ આવતીકાલે ફોર્મ ભરવાનો આંકડો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવાની શક્યતા છે. યાદી વગર જ અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યાકોંગ્રેસ પક્ષમાં પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રથમ યાદી જાહેર થયા બાદ બીજી સત્તાવાર યાદી જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોને રૂબરૂ ફોન કરીને ફોર્મ ભરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ આદેશ મળતા જ અનેક કોંગ્રેસી નેતાઓ પોતાની ફાઈલો લઈને કલેક્ટર કચેરી અને ઝોનલ ઓફિસોએ પહોંચી ગયા હતા. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે, ભાજપની યાદી આવ્યા બાદ જ પોતાની પૂરેપૂરી તાકાત મેદાનમાં ઉતારવી. વોર્ડ નં-2 અમરોલી-મોટા વરાછામાં સૌથી વધુ ફોર્મચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 2 (અમરોલી-મોટા વરાછા-કઠોર) અત્યારે હોટ ફેવરિટ બન્યો છે. આ વોર્ડમાંથી આજે સૌથી વધુ 10 ફોર્મ ભરાયા છે. આમ આદમી પાર્ટી તરફથી પરિમલ કાણાની, દયાબેન પાનસુરીયા, કિરણબેન મેઘાણી, જ્યોત્સનાબેન સુતરીયા, તુલસી લાલલીયા અને નયનાબેન ગાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. તો સામા પક્ષે કોંગ્રેસમાંથી અરવિંદ પગદાર, પંકજ સરખેડીયા અને પ્રવિણા ખેની જેવા નામો મેદાનમાં આવતા આ વિસ્તારમાં જંગ રસપ્રદ બનશે તેમ દેખાઈ રહ્યું છે. શનિવારે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન કરશેભાજપની પરંપરા મુજબ છેલ્લી ઘડીએ જ ઉમેદવારો નક્કી કરવામાં આવે છે, જેથી બળવો કે આંતરિક જૂથવાદ રોકી શકાય. મોડી રાત્રે યાદી ફાઈનલ થયા બાદ તમામ 120 બેઠકો પર ભાજપના ઉમેદવારો શનિવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ભાજપે દરેક વોર્ડમાં જંગી રેલીઓ અને ઢોલ-નગારા સાથે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, આવતીકાલનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ સુરતમાં ત્રિકોણીય મુકાબલો જામશે જેની સીધી અસર સુરતના મતદારો પર પડશે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ તેજ બનશેફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ સુરત શહેર અને જિલ્લામાં પ્રચારનો ધમધમાટ શરૂ થશે. આ વખતે સોશિયલ મીડિયાથી લઈને પદયાત્રાઓ સુધીના કાર્યક્રમોની હારમાળા સર્જાશે. ભાજપ પોતાના વિકાસના મોડલ સાથે, કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો સાથે અને આમ આદમી પાર્ટી 'પરિવર્તન'ના નારા સાથે મેદાનમાં છે. અનેક બેઠકો પર ચતુષ્કોણીય મુકાબલા સર્જાવાની પણ પૂરી શક્યતા છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:17 pm

અમદાવાદના 50થી વધુ વેપારી સાથે ઠગાઇ આચરનાર ઝડપાયો:પેમેન્ટના ખોટા સ્ક્રીન શોર્ટથી ઠગાઈ કરતો, નવરાત્રીમાં પાર્ટી પ્લોટોના પાસ પણ લીધા'તા; 10.87 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને કપડા સહિતનો માલસામાન ખરીદીને પેમેન્ટ કર્યાનો બનાવટી સ્ક્રીન શોટ બતાવીને 50થી વધુ વેપારીઓ સાથે ઠગાઇ કરનાર ગઠિયો ઝડપાયો છે. આરોપીએ નવરાત્રીમાં પાર્ટી પ્લોટોની ટિકીટો પણ બનાવટી પેમેન્ટનો સ્ક્રીન શોર્ટ બતાવીને લઇ લીધી હતી. મહત્વનું છે કે બોપલ આંબલી રોડ પર કાપડની દુકાન ધરાવતા વેપારીને બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપી સામે આઠ કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો, પણ બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતાબોપલમાં રહેતા મયુરભાઇ દોંગા બોપલ-આંબલી રોડ પર પડદાના કાપડની દુકાન ધરાવે છે.થોડા દિવસ અગાઉ એક યુવક દુકાને આવ્યો હતો અને તેણે તાત્કાલિક કાપડ લેવાનું કહીને 40 હજારનું કાપડ પસંદ કર્યું હતું. યુવકે બેંકની ડીટેઇલ મોકલીને કાપડ લઇને પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. પરંતુ મયુરભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા નહોતા. બીજી તરફ યુવકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આ યુવકે તેનું નામ ઋષિલ શાહ જણાવ્યું હતું. જેની ભાળ ન મળતા મયુરભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોપોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઋષિલ શાહને ઘાટલોડિયામાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 10.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેના વિરૃદ્ધ ગાંધીનગર અને અમદાવાદમાં અકસ્માત સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમજ તે કારમાં બનાવટી નંબર પ્લેટ રાખતો હતો અને અન્ય નામના સીમ કાર્ડ પણ વાપરતો હતો. એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતોઉપરાંત BBA સુધીનો અભ્યાસ કર્યો છે. કેન્વાસ એપ્લીકેશનથી મેસેજમાં એડિંટીંગ કરીને મેસેજ બતાવીને માલસામાન લઇને ઠગાઇ આચરતો હતો. જ્યારે તેને નવરાત્રીમાં સફેદ પરીંદે જેવા પ્રખ્યાત ગરબામાં પણ બનાવટી મેસેજ બતાવીને 45 ટિકીટો લઇને બારોબાર વેચીને રૂપિયા કમાઇને મોજશોખમાં ઉડાવી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:17 pm

ગાંધીનગર ભાજપમાં ભડકો થવાના એંધાણ:જિ. પંચાયતમાં 'નો-રિપીટ’ થિયરીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ, આયાતી ઉમેદવારોને લોટરી લાગતા રોષ

ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીએ પક્ષમાં આંતરિક વિખવાદ અને રોષની જ્વાળાઓ ભડકાવી છે. ‘નો-રિપીટ’ થિયરીના નામે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક દિગ્ગજોના પત્તા કાપી નાખવામાં આવતા સંગઠનમાં ભડકો થવાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને પક્ષપલ્ટો કરીને આવેલા નેતાઓને ટિકિટની લોટરી લાગતા સ્થાનિક કાર્યકરોમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી ભાજપ સંગઠનમાં ખળભળાટગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં દિગ્ગજોની બાદબાકીથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના પસંદગીકારોએ અગાઉ ચૂંટાયેલા સભ્યો સહિત સ્થાનિક દિગ્ગજો પર રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 28 બેઠકો પૈકી 27 બેઠકો પર મુરતિયા જાહેર કરાયા છે, જેમાં નો-રિપીટ થિયરીનો કડક અમલ કરીને માત્ર બે સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાયાજેમાં માણસાની લોદરા બેઠક પરથી કલ્પેશ પટેલ અને દહેગામની કડજોદરા બેઠક પરથી રાજેન્દ્ર રાઠોડ પર ફરી વિશ્વાસ મુકાયો છે, જ્યારે બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને જૂના જોગીઓને હાંસિયામાં ધકેલી દેવાતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.​આ યાદીમાં સૌથી વધુ આશ્ચર્ય અને રોષ આયાતી ઉમેદવારોને કારણે જોવા મળી રહ્યો છે. કેમકે મૂળ કોંગ્રેસી અને બે વર્ષ પહેલા ભાજપમાં ભળેલા રશ્મિભાઇ ઠાકોરને સાંતેજ અને રાજીબેન ઠાકોરને ભોયણ મોટી બેઠક પર ટિકિટની લોટરી લાગી છે. પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષજેના પગલે પક્ષના વફાદાર કાર્યકરોને અવગણીને પક્ષપલ્ટો કરનારાઓને વચન નિભાવવાના નામે ટિકિટ અપાતા આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત માણસાની સોજા બેઠક પર ગત જૂનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયેલા મહિલાના પતિને ટિકિટ અપાતા પક્ષની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરિવારવાદના પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે. જેમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનના પુત્રવધુ લક્ષ્મીબેન ઠાકોરને ઉવારસદ અને પેટાચૂંટણી જીતેલા સભ્યના પત્ની સોનીબેન દેસાઇને હાલીશા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે. જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય છતાં નવા ચહેરાને તક ​બીજી તરફ બેઠકોના રોટેશન અને સીમાંકનમાં થયેલા ફેરફારને કારણે અનેક મહિલા દિગ્ગજોના પત્તા કપાયા છે. પૂર્વ પ્રમુખ શિલ્પાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલ, સિંચાઈ સમિતિના ચેરમેન લીલાબેન પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન સંગાડા જેવી નેતાઓની બેઠકો અનામતની ફાળવણીમાં બદલાઈ જતાં તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. તો આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન જયાબેન ઠાકોરની અડાલજ બેઠક સામાન્ય થવા છતાં ત્યાં નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપ હાઈકમાન્ડ આંતરિક રોષને ડામવામાં સફળ ના રહ્યું?જિલ્લા પંચાયતની 28 બેઠકો પૈકી ભાજપે 27ના નામોમાં જ્ઞાતિવાદનું જોર પણ સ્પષ્ટ દેખાય છે. 15 મહિલા ઉમેદવારો અને ઠાકોર-પટેલ સમાજના વર્ચસ્વ વચ્ચે જેમના પત્તા કપાયા છે તેઓ હવે શાંત બેસે તેમ જણાતું નથી. અડાલજ, સરઢવ, સાદરા અને ડભોડા જેવી બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને ઉતારવા સામે પણ પક્ષની અંદર ગણગણાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક રોષને ડામવામાં સફળ રહે છે કે પછી સીટિંગ દિગ્ગજોનો આ અસંતોષ ચૂંટણી ટાણે ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:07 pm

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે ₹2.73 કરોડની છેતરપિંડી:બે શખ્સો સામે ગુનો, ભળતી જમીન આપી; મશીનરી ન આપી

સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી શરૂ કરવાના બહાને એક વેપારી સાથે ₹2.73 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ વેપારીને એન.એ. થયેલી ભળતી જમીન બતાવી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને મશીનરી પેટે લીધેલા કરોડો રૂપિયા ઓળવી ગયા હતા. સિદ્ધપુરની રૂદ્રાક્ષ સોસાયટીમાં રહેતા રીતેશભાઈ અરવિંદભાઈ ખત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2024માં રીતેશભાઈએ સેન્ટિંગ વાયર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ સેન્દ્રાણા ગામની સીમમાં આવેલી જમીન જોવા ગયા હતા, જ્યાં આરોપી અમીનભાઈ અહમદભાઈ પલાસરાએ તેમને સર્વે નંબર 1229 પૈકી 3 વાળી જમીન બતાવી હતી. જોકે, વિશ્વાસમાં લઈ આરોપી અમીનભાઈએ વેપારીને સર્વે નંબર 1229 પૈકી 2 વાળી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ જમીન પેટે વેપારીએ કુલ ₹1,05,50,000 ચૂકવ્યા હતા. છેતરપિંડીનો સિલસિલો અહીં જ ન અટકતા, આરોપી અમીનભાઈએ તેના ભાઈ અકબરભાઈ અહમદભાઈ પલાસરાની મશીનરી બનાવવાની ફેક્ટરી હોવાનું જણાવી પ્રોજેક્ટ માટે ત્યાંથી મશીનરી લેવા વેપારીને સમજાવ્યા હતા. વેપારીએ કેનેરા બેન્કમાંથી લોન મેળવી અકબરભાઈના બેન્ક ખાતામાં ટુકડે-ટુકડે ₹1,67,98,000 જમા કરાવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ મશીનરી આપી નહોતી કે નાણાં પરત કર્યા નહોતા. દરમિયાન, વેપારીએ ખરીદેલી જમીન પર બાંધકામ શરૂ કરતા અન્ય એક વ્યક્તિએ આવીને આ જમીન પોતાની હોવાનું જણાવી દસ્તાવેજો બતાવ્યા હતા. ત્યારે વેપારીને જાણ થઈ હતી કે તેમને બતાવેલી જમીન અને દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અલગ-અલગ છે. આમ, જમીન અને મશીનરી બંને પેટે મળીને કુલ ₹2,73,48,000 ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે રીતેશભાઈ ખત્રીએ સિદ્ધપુર પોલીસ મથકે અમીનભાઈ પલાસરા અને અકબરભાઈ પલાસરા (બંને રહે. બાસૂ, તા. વડગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 316(2), 318(4) અને 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:49 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મનો વરસાદ:મનપામાં 607, ન.પા.માં 900, જિ.પામાં 1400 અને તા.પં.માં 2000 મળી 4907થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા

ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યભરમાં હજારો ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે, જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ બાકી હોવાથી આગામી સમયમાં આ આંકડો હજુ વધવાની અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયાવિવિધ સ્તરે ભરાયેલા ફોર્મના આંકડાઓ રાજ્યમાં ચૂંટણી પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે. મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોનો ધસારો સૌથી વધુ રહ્યો છે, જેના કારણે મોટા શહેરોમાં મુકાબલો કઠિન બન્યો છે. બીજી તરફ, નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ફોર્મ ભરાયા છે, જે સ્થાનિક સ્તરે બદલાતા રાજકીય સમીકરણો અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જાગૃતિનો સંકેત આપે છે. છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળોરાજકીય પક્ષોની સાથે સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. આ સ્થિતિને કારણે અનેક બેઠકો પર ત્રિકોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ પણ પક્ષો દ્વારા બાકી રહેલા નામોની જાહેરાત થતાની સાથે જ છેલ્લા દિવસે ફોર્મ ભરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ચૂંટણી પ્રક્રિયાના આ પ્રારંભિક તબક્કા પરથી સ્પષ્ટ થાય છે કે આ મુકાબલો રસાકસીભર્યો રહેશે. ઉમેદવારોમાં જોવા મળી રહેલો આ ભારે ઉત્સાહ અને જટિલ સ્પર્ધાત્મક સમીકરણો આગામી સમયમાં રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મહાનગરપાલિકામાં ફોર્મ ભરાયા નગરપાલિકામાં ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાયા

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:41 pm

ઇંટના ધંધાર્થી પાસે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:રાજકોટના યુવાને રૂ.85 લાખના બદલામાં રૂ.1.14 કરોડ ચૂકવ્યા છતા નાણાની માંગણી ચાલુ, 6 શખ્સો સામે મનીલેન્ડ એક્ટનો ગૂનો નોંધાયો

રાજકોટના નવાગામના ઇંટનો ધંધાર્થી યુવાન વ્યાજંકવાદમાં ફસાયો હતો. યુવાને વ્યવસાયના કામ રૂ .85 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.14 કરોડ ચૂકવી દીધા હતા. આમ છતા વ્યાજખોરો દ્વારા વ્યાજ અને મૂડીની માગણી કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળીને યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 6 શખ્સો સામે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. નવાગામમાં સમજુ પાર્કમાં રહેતાં મૂળ ચુનારાવાડના દેવેન્દ્રભાઇ હરેશભાઇ મંડલી (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ નરસંગ રાઠોડ (રહે.ભીચરી), રાજુ ભલસોડ (રહે. ચુનારાવાડ શેરી નં.02), નાગદાન આહીર (રહે. રાજપીપળા), મુન્ના ફુલવાળાની પત્ની (રહે. ચુનારાવાડ), રાજુ મહાકાળી પાનવાળો (રહે. દૂધની ડેરી પાસે) અને રાકેશ કાના રમેશ ગોસ્વામી (રહે. કુવાડવા રોડ)નું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેમને ઇંટના ભઠ્ઠાનો ધંધો હોય વર્ષ 2018માં ધંધામાં ખોટ આવતા જેની પાસેથી માટી મંગાવતા હતા તે ભીચરી ગામના મહેશ રાઠોડ પાસેથી રૂ. 8 લાખ 2 ટકા વ્યાજ લીધા હતા. જે બાદ વધુ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. આમ કુલ રૂ.13 લાખના 2 ટકા વ્યાજ લેખે દર મહિને રૂ.26 હજાર રોકડ ચૂકવતો હતો અને અત્યાર સુધીમાં રૂ. 27 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર વ્યાજ અને મૂડીની માંગણી કરી ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડના રાજુ ભલસાડ પાસેથી રૂ. 7 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા જેને આજદિન સુધીમાં રૂ.9 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. વર્ષ 2020 માં નાગદાન આહીર પાસેથી રૂ.8 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા બાદમાં વધુ જરૂર પડતા કુલ રૂ.13 લાખ તેમની પાસેથી વ્યાજે લીધા હતા જેના બદલામાં રૂ.13 લાખ ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપે છે. આ ઉપરાંત યુવાને ચુનારાવાડ-1માં રહેતા મુન્ના ફુલવાળા પાસેથી વર્ષ 2018 માં રૂ. 4 લાખ વ્યાજ આજે લીધા હતા જેનું દર મહિને અઢી ટકા વ્યાજ યુવાન ચૂકવતો હતો. એક વર્ષ પહેલા મુન્નાભાઈનું અવસાન થતાં મુન્નાભાઈની પત્નીનો ફોન આવ્યો હતો અને હવે વ્યાજ અને મૂડી બંને આપવું પડશે તેમ કહ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2021 માં રાજુભાઈ મહાકાળી પાનવાળા પાસેથી યુવાને 13 લાખ 5 ટકા વ્યાજ લીધા હતા 2021 સુધી રાજુભાઈને વ્યાજની રકમ રૂ. 15 લાખ આપી દીધી હોવા છતાં તે મૂડી અને વ્યાજની માંગણી કરી ધમકીઓ આપે છે. આ સાથે જ યુવાને પાડોશમાં રહેતા રાકેશભાઈ ઉર્ફે કાના કાનાભાઈ ગોસ્વામી પાસેથી વર્ષ 2022માં ધંધાના કામ માટે રૂપિયા 14 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જે બાદ વધુ જરૂરિયાત પડતા કુલ રૂ. 35 લાખ તેમની પાસેથી 5 ટકા વ્યાજ લીધા હતા. જેમાં આજદિન સુધીમાં રૂ. 50 લાખ વ્યાજ ચૂકવી દીધું હોવા છતા વ્યાજખોરો ધમકીઓ આપવા લાગ્યા હતાં. જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:40 pm

બાથરૂમમાં મહિલાનો વિડીયો બનાવ્યો:વડોદરામાં એક શખ્સે છુપાઈને બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી મહિલાનો વીડિયો ઉતાર્યો, મહિલાએ બૂમાબૂમ કરતા યુવક મોબાઈલ ફેંકીને ભાગી છૂટ્યો, અભયમની ટીમ મદદે દોડી ગઈ

વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા શખ્સે છુપાઈને મહિલાનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. આ મામલે પીડિત મહિલાએ અભયમ ટીમની મદદ લેતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ, પીડિત મહિલાએ અભયમ ટીમને જાણ કરી હતી કે, આજે સવારે તે પોતાના ઘરના બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. તેમના ઘરના બાજુમાં કડિયા કામ માટે આવતો એક વ્યક્તિ હતો. બાથરૂમની દીવાલો હોવા છતાં ઉપરનો ભાગ ખુલ્લો હતો અને ત્યાં લગાવેલ નેટ તાજેતરના વાવાઝોડાને કારણે ઉડી ગઈ હતી. આ દરમિયાન મહિલા નાહવા બેઠી હતી ત્યારે તેની નજર બાજુમાં ઉભેલા વ્યક્તિ પર ગઈ, જે મોબાઈલ દ્વારા વીડિયો બનાવી રહ્યો હતો. મહિલાએ તાત્કાલિક બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો એ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તેણે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હતી અને પોતાનો મોબાઈલ ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ કડિયા કામ માટે ત્યાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પીડિત મહિલાએ તરત જ અભયમ ટીમને કોલ કર્યો હતો. અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી સામે પક્ષના ઘરે તપાસ કરતા ઘર તાળાબંધ મળ્યું હતું અને આસપાસ શોધખોળ છતાં આરોપી મળી આવ્યો નહોતો. આ સંદર્ભે પીડિત મહિલાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ આરોપી દ્વારા ફેંકાયેલ મોબાઈલ પણ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:36 pm

પુણાગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા:‘લાલો ક્યાં છે?’ કહી યુવક પર તીક્ષ્ણ હથિયારો અને પિસ્તોલ સાથે તૂટી પડ્યા, 9 સામે રાયોટિંગની ફરિયાદ દાખલ

સુરતના પુણાગામ વિસ્તારમાં જૂની અદાવત અને નાણાકીય લેતીદેતીમાં એક યુવક પર આઠથી નવ શખ્સોએ ઘાતક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લાલજીભાઈ ચૌહાણને ફોન કરીને રેશ્મા ચોકડી પાસે બોલાવી આરોપીઓએ ચપ્પુ, ગુપ્તી અને લોખંડના પાઈપ વડે લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલા દરમિયાન આરોપીઓએ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઘટનામાં એક આરોપીનો પીછો કરીને તેને પકડ્યો હતો. ઉપાડના રૂપિયા માંગતા વિવાદ શરૂ થયોફરિયાદી લાલજીભાઈ અગરસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 35) કાપોદ્રામાં હોટ ફિક્સનું કામ કરે છે. તેમના ત્યાં અગાઉ કામ કરતી હેતુબેન ઉર્ફે સંજુબેને લગ્ન માટે 50,000 ઉપાડ પેટે લીધા હતા. આ રૂપિયા પરત માંગવા માટે જ્યારે લાલજીભાઈના પત્ની યુવતીના ઘરે ગયા, ત્યારે યુવતીની માતાએ ‘તારો પતિ મારી દીકરીને મેસેજ કરે છે’ તેવા ખોટા આક્ષેપો કર્યા હતા. આ બાબતને લઈને આરોપી ગોપાલ ઉર્ફે રોનકે ફરિયાદીના ખાતા પર જઈ ‘લાલો ક્યાં છે? મારી બેનને કેમ મેસેજ કરે છે?’ કહી માથાકૂટ કરી હતી. રેશ્મા ચોકડી પાસે બોલાવી પિસ્તોલ બતાવી હુમલો કર્યોગઈકાલે સાંજે સવાભાઈ ભરવાડે લાલજીભાઈને ફોન કરી રેશ્મા ચોકડી નીચે પોલીસ ચોકી પાસે મળવા બોલાવ્યા હતા. લાલજીભાઈ ત્યાં પહોંચતા જ સવાભાઈ, ગોપાલ ઉર્ફે રોનક, વિપુલ ભરવાડ સહિતના 9 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ઘેરી લીધા હતા અને પિસ્તોલ જેવા હથિયાર બતાવી ભયનું વાતાવરણ ઊભું કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આંખ અને પગના ભાગે ઘાતક ઈજાઓ પહોંચાડીહુમલાખોરોથી બચવા લાલજીભાઈ નજીકની ગલીમાં ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ પીછો કરી તેમને પકડી પાડ્યા હતા. સવાભાઈએ ચપ્પુનો ઘા લાલજીભાઈની જમણી આંખની નીચે માર્યો હતો, જ્યારે ગોપાલે ગુપ્તી વડે જમણા પગમાં ગંભીર ઈજા કરી હતી. અન્ય આરોપીઓએ લોખંડની સાંકળ અને પાઈપ વડે ફટકારતા લાલજીભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમના નાના ભાઈ હઠીસિંગે વચ્ચે પડી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. એઈમ્સ હોસ્પિટલમાં 10 ટાંકા આવ્યાઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્સ (AIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ, લાલજીભાઈને આંખ નીચે 7 ટાંકા અને પગના ભાગે 3 ટાંકા આવ્યા છે, જ્યારે પીઠ અને હાથના ભાગે મુંઢ માર વાગ્યો છે. પુણાગામ પોલીસે આ મામલે રાયોટિંગ અને હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ટી.આર. પાટીલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધ્યો

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:33 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પાટણ સંસ્થાની મુલાકાત લીધી:લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજીને પશુપાલકો માટે આશીર્વાદરૂપ ગણાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે પાટણ ખાતે આવેલી સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની કામગીરીનું અવલોકન કર્યું અને પશુ સંવર્ધન ક્ષેત્રે થતી વૈજ્ઞાનિક તથા આધુનિક કામગીરીની પ્રશંસા કરી. રાજ્યપાલએ કર્મચારીઓના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. રાજ્યપાલએ ખાસ કરીને સીમેન પ્રોડક્શન અને લિંગ નિર્ધારિત (Sexed Semen) ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી પશુપાલકોને થતા લાભ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ આધુનિક ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રે ગુણવત્તાસભર ઓલાદ વિકાસ અને દૂધ ઉત્પાદન વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીને બિરદાવી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા આહ્વાન કર્યું. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા વર્ષ 2010 થી કાર્યરત છે. તે સમગ્ર રાજ્યમાં થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન અને વિતરણ કરતી એકમાત્ર અદ્યતન સંસ્થા છે. ભારત સરકાર દ્વારા સંસ્થાને સતત A ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. અહીં બાયોસિક્યોરિટી માપદંડોનું કડક પાલન થાય છે અને ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી જેવી ઉત્તમ ઓલાદોના સાંઢ-પાડાનું નિભાવ કરવામાં આવે છે. તાજેતરમાં શરૂ કરાયેલી લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજી દ્વારા 90 ટકાથી વધુ માદા બચ્ચાનો જન્મદર નોંધાઈ રહ્યો છે, જે પશુપાલકો માટે અત્યંત લાભદાયી છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ 35 લાખથી વધુ પરંપરાગત અને 2 લાખથી વધુ લિંગ નિર્ધારિત સીમેન ડોઝનું ઉત્પાદન કર્યું છે. આનાથી રાજ્યમાં પશુઓની ઉત્પાદકતા વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલએ સીમેન સ્ટેશન, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અને બુલ શેડની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.એચ. ટાંક, પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. પ્રદિપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:28 pm

સ્મીમેર હોસ્પિટલની સેવાનો વ્યાપ વધ્યો:એક જ મહિનામાં 54 હજાર OPD અને 6 હજાર સર્જરી

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજે માર્ચ 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. અત્યાધુનિક સુવિધાઓના આધારે સંસ્થાએ માત્ર એક મહિનામાં 60,000 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને ઓપીડી અને ઇન્ડોર વિભાગ હેઠળ સઘન સારવાર પૂરી પાડી છે. તબીબી નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલી સફળ સર્જરી અને નિદાન સેવાઓને કારણે સામાન્ય જનતાનો વિશ્વાસ આ સંસ્થા પર મજબૂત બન્યો છે. ગંભીર બીમારીઓથી પીડાતા 6,054 દર્દીઓને દાખલહોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, માર્ચ મહિનામાં કુલ 54,939 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાનો લાભ લીધો હતો, જે સરેરાશ દૈનિક 1,700 થી વધુ દર્દીઓની સંખ્યા દર્શાવે છે. આ ઉપરાંત, ગંભીર બીમારીઓથી પીડાતા 6,054 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. સર્જરી વિભાગે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરતા 690 મોટા ઓપરેશનો અને 6,054 જેટલા નાના ઓપરેશનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જે સરકારી યોજનાઓ હેઠળ રાહત દરે અથવા વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. 16,007 દર્દીઓના વિવિધ લેબ રિપોર્ટ્સ તૈયારનિદાન ક્ષેત્રે લેબોરેટરી અને રેડિયોલોજી વિભાગની કામગીરી પણ મહત્વની રહી છે. મહિના દરમિયાન કુલ 16,007 દર્દીઓના વિવિધ લેબ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને રેડિયોલોજી વિભાગ દ્વારા 15,911 એક્ષ-રે પાડવામાં આવ્યા હતા. આ ઝડપી ડાયગ્નોસ્ટિક સેવાઓને કારણે દર્દીઓને સમયસર ઇલાજ મળી રહ્યો છે. આંખના વિભાગમાં 2,681 દર્દીઓની તપાસખાસ રોગોની સારવારમાં, ક્ષય રોગ (ટી.બી.) નિર્મૂલન માટે કુલ 1,960 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાં 788 નવા કેસ અને 1,172 ફોલોઅપ દર્દીઓનો સમાવેશ થાય છે. આંખના વિભાગમાં 2,681 દર્દીઓની તપાસ થઈ હતી, જ્યારે ફિઝિયોથેરાપી વિભાગમાં 1,221 દર્દીઓએ કસરત અને પુનઃસ્થાપનની સેવાઓ મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:24 pm

મહેસાણાની 10 તાલુકા પંચાયત ચૂંટણી માટે 222એ ઉમેદવારી પત્ર ભર્યા:5 નગરપાલિકામાં 131 ફોર્મ ભરાઈ ચૂક્યા, 46 ઉમેદવારોએ મનપાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા

મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ અને મહેસાણા મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવંતી બની છે.જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતોમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહજિલ્લાની 10 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 222 ઉમેદવારોએ ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તાલુકાવાર વિગતો જોઈએ તો ખેરાલુ અને વિજાપુર તાલુકામાં સૌથી વધુ 37-37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સિવાય કડીમાં 32, વડનગરમાં 25 અને મહેસાણા તાલુકામાં 24 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. બહુચરાજીમાં 19 ઉમેદવારો જ્યારે સતલાસણા, ઊંઝા અને જોટાણા તાલુકા પંચાયત માટે 13-13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિસનગર તાલુકા પંચાયત માટે હાલમાં સૌથી ઓછા 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. નગરપાલિકાઓમાં ઊંઝા અને વિજાપુરમાં જામશે જંગજિલ્લાની 5 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.જ્યાં અત્યાર સુધીમાં કુલ 131 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ઊંઝા નગરપાલિકામાં 71 ઉમેદવારોએ ફોર્મ ભરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. વિજાપુર નગરપાલિકામાં પણ 46 ફોર્મ સાથે ભારે રસાકસી જોવા મળી રહી છે. જ્યારે બેચરાજીમાં 6, કડીમાં 5 અને વિસનગર નગરપાલિકામાં 3 ફોર્મ ભરાયા છે. મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ સ્થિતિનવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે પણ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 46 ઉમેદવારોએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે. વોર્ડ મુજબના આંકડા તપાસતા, વોર્ડ નંબર 1 થી 5 માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 6 થી 9 માં 13 ઉમેદવારો અને વોર્ડ નંબર 10 થી 13 માં કુલ 11 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી રજૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:21 pm

ગોધરા નગરપાલિકા માટે કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ:લઘુમતી વિસ્તારોમાં એક પણ ઉમેદવાર નહીં ઉતારે, હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો પર કેન્દ્રિત કર્યું

ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે એક અત્યંત આશ્ચર્યજનક અને વ્યૂહાત્મક નિર્ણય લઈને રાજકીય સમીક્ષકોને ચોંકાવી દીધા છે. દાયકાઓ જૂની પરંપરા તોડીને કોંગ્રેસે આ વખતે લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં 'નો ટિકિટ' પોલિસી અપનાવી છે. સોફ્ટ હિન્દુત્વ અપનાવીને પક્ષે પોતાની પરંપરાગત વોટબેંક ગણાતા વોર્ડમાં ઉમેદવારો ઊભા ન રાખીને પોતાનું સંપૂર્ણ ધ્યાન હિન્દુ બહુમતી ધરાવતી બેઠકો પર કેન્દ્રિત કર્યું છે. 4 વોર્ડની 16 બેઠકો ખાલી છોડીગોધરા નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર બનેલી આ ઘટનામાં કોંગ્રેસે માઈનોરીટી વસ્તી ધરાવતા વોર્ડ નંબર 6, 7, 8 અને 9 માં એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી. આ 4 વોર્ડની કુલ 16 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે નહીં. સામાન્ય રીતે આ વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે પક્ષે અહીંથી દૂરી બનાવી છે. 7 વોર્ડની 28 બેઠકો પર જ ધ્યાનનવી વ્યૂહરચના મુજબ, કોંગ્રેસ હવે માત્ર હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જ પોતાની તાકાત લગાવશે. પક્ષ દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 10 અને 11 મળીને કુલ 7 વોર્ડની 28 બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. રણનીતિ પાછળના સંભવિત કારણોકોંગ્રેસના આ 'નો ટિકિટ' પ્લાન પાછળ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે: વોટનું વિભાજન અટકાવવું: લઘુમતી વિસ્તારોમાં અપક્ષ કે અન્ય પક્ષો સામે ટકરાવાને બદલે સીધું મેદાન છોડીને અન્ય સમીકરણો સાધવાનો પ્રયાસ. સોફ્ટ હિન્દુત્વ: પક્ષ પોતાની છબી બદલીને હિન્દુ મતદારોમાં વિશ્વાસ કેળવવા માંગતો હોય તેવું જણાય છે. વ્યૂહાત્મક પીછેહઠ: વિરોધ પક્ષના મતોનું ધ્રુવીકરણ રોકવા માટે આ એક મોટો રાજકીય દાવ હોઈ શકે છે. ચૂંટણી ગણિત આ નિર્ણયથી ગોધરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શું કોંગ્રેસનો આ પ્રયોગ સફળ રહેશે કે પછી લઘુમતી મતદારોની નારાજગી પક્ષને નુકસાન પહોંચાડશે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:14 pm

આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-3 અને વોર્ડ-4માં 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ભાજપે 2 મુસ્લિમ મહિલા અને 2 મુસ્લિમ પુરુષ એમ 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. વોર્ડ-3 માં કાશ્મીરાબેન ફિરોઝભાઈ વહોરા અને ઈમરાનભાઈ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. તો વોર્ડ-4માં ફરીનબાનુ શાહરૂખખાન પઠાણ અને અલ્તાફ અનવરભાઈ વહોરાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા કરમસદ-આણંદ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:10 pm

'મારા દેશમાં વિદેશીઓને હોસ્પિટલમાં મફત સારવાર મળવી મુશ્કેલ':સુરતની સરકારી હોસ્પિટલે જર્મન ટ્રાવેલરને ચોંકાવી દીધો, સો. મીડિયા પર અનુભવ શેર કર્યો અનુભવ

ભારતીય આરોગ્ય સેવાઓ અને મહેમાનગતિના કિસ્સાઓ વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક વિદેશી પ્રવાસીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સુરતના સરકારી હોસ્પિટલના અનુભવ વિશે વાત કરી છે. રખડતા કૂતરાએ બચકું ભર્યા બાદ જ્યારે તે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાંની સુવિધા અને મફત સારવાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શું હતી સમગ્ર ઘટના?જર્મનીના ટ્રાવેલર ડેવિડ નેવેલને ગત રાત્રે વેસુ વિસ્તારમાં એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે તેણે તાત્કાલિક રસી લેવી અનિવાર્ય હતી. આ માટે તેણે સુરતની વેસુ વિસ્તારમાં જ આવેલી એક સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડેવિડ નેબેલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, સુરતના વેસુ વિસ્તારમાં તેમને એક રખડતા શ્વાને બચકું ભર્યું હતું. હડકવા જેવી ગંભીર બીમારીથી બચવા માટે તેઓ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને અપેક્ષા હતી કે, વિદેશી હોવાને કારણે કદાચ પ્રક્રિયા જટિલ હશે અથવા મોટો ખર્ચ થશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ હતી. ડેવિડને હોસ્પિટલમાં એક પણ રૂપિયો ચૂકવવો પડ્યો નહીં. તેમને જરૂરી તમામ ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર મફતમાં આપવામાં આવી. તેમણે હોસ્પિટલની સેવાની ઝડપ અને ત્યાંની સ્વચ્છતાના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું, હું ખરેખર આશ્ચર્યચકિત હતો કે આટલી જલ્દી અને સ્વચ્છતા સાથે મને સારવાર મળી. ડેવિડે પોતાના દેશ જર્મની સાથે સરખામણી કરતા કહ્યું કે, જો મારા દેશમાં કોઈ વિદેશીને આવી રીતે ઈજા થાય, તો ત્યાં તેને મફતમાં સારવાર મળવી લગભગ અશક્ય છે. ભારતની આ વ્યવસ્થા ખરેખર પ્રભાવશાળી છે. મફત સારવાર અને ઝડપી સર્વિસપ્રવાસીએ વીડિયોમાં તેનું રસીકરણ કાર્ડ પણ બતાવ્યું છે. તેણે જણાવ્યું કે, તેને હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર મફત આપવામાં આવી હતી. તેણે કુલ 4 ઈન્જેક્શન લેવાના છે, જેનો શિડ્યુલ ડૉક્ટરોએ તેને સમજાવ્યો હતો. તે હોસ્પિટલની સ્વચ્છતા અને ત્યાંની ઝડપી સેવા જોઈને ઘણો પ્રભાવિત થયો હતો. વિદેશી પ્રવાસીએ જણાવ્યું હતું કે, હું ખરેખર નવાઈ પામ્યો છું કે અહીં મને મફતમાં સારવાર મળી. મારા દેશમાં વિદેશીઓને હોસ્પિટલમાં આ રીતે મફત સારવાર મળવી ખૂબ મુશ્કેલ છે. આ ખરેખર પ્રશંસનીય છે. ભારતીય હેલ્થકેર સિસ્ટમની પ્રશંસાવીડિયોમાં તે પ્રવાસી વારંવાર 'Dope' અને 'Impressive' જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતની સરકારી સુવિધાઓના વખાણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'અતિથિ દેવો ભવ:'ની ભાવના ભારતની આરોગ્ય સેવાઓમાં પણ જોવા મળે છે. આ ઘટના દર્શાવે છે કે, ભારતની જાહેર આરોગ્ય પ્રણાલી માત્ર નાગરિકો માટે જ નહીં પરંતુ, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓ માટે પણ સમાન રીતે કાર્યરત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. નેટીઝન્સે આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, જો તમે અમેરિકામાં હોત, તો તમારી પાંચ વર્ષની બચત આ સારવારમાં ખર્ચાઈ ગઈ હોત. અન્ય એક ભારતીય પ્રવાસીએ લખ્યું કે, જર્મનીમાં સર્જરી માટે લાંબો વેટિંગ પિરિયડ હોવાથી હું પોતે ઓપરેશન કરાવવા ભારત પાછો આવ્યો હતો. ઘણા લોકોએ ડેવિડને સલાહ આપી હતી કે, તેઓ હડકવાના તમામ ડોઝ પૂરા કરે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:06 pm

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની રણનીતિ:બળવાખોરી ટાળવા તમામ દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યા, મેન્ડેટ છેલ્લી ઘડીએ

નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક અનોખી રણનીતિ અપનાવી છે. પક્ષે તમામ દાવેદારો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવી લીધા છે, પરંતુ મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાનો નિર્ણય કર્યો છે. આ માસ્ટર પ્લાનનો મુખ્ય હેતુ સંભવિત બળવાખોરીને ટાળવાનો છે. રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 240 થી વધુ લોકોએ ફોર્મ લીધા હતા અને 100 થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. આ સ્થિતિમાં, જો કોઈ એકને મેન્ડેટ આપવામાં આવે તો બાકીના દાવેદારો નારાજ થઈ અપક્ષ ઉમેદવારી કરી શકે છે, જે પક્ષને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ સંભવિત વિરોધને ટાળવા અને કોઈ નારાજ કાર્યકર અપક્ષ ઉમેદવારી ન કરે તે સુનિશ્ચિત કરવા માટે, પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે તમામ દાવેદારો પાસેથી ફોર્મ ભરાવી ચૂંટણી અધિકારીને સુપ્રત કરાવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની છે. પક્ષ દ્વારા જે ઉમેદવારના નામે મેન્ડેટ જાહેર થશે, તે મેન્ડેટ છેલ્લી ઘડીએ એટલે કે બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવી દેવામાં આવશે. જે દાવેદારોને મેન્ડેટ નહીં મળે, તેમના ફોર્મ આપોઆપ રદ થઈ જશે. આ પદ્ધતિથી નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી કરી શકશે નહીં. મેન્ડેટ જમા કરાવ્યા બાદ, જિલ્લા સંગઠન દ્વારા નારાજ કાર્યકરોને રૂબરૂ બોલાવી તેમની નારાજગી દૂર કરવામાં આવશે અને તેમને પક્ષને જીતાડવા માટે કામ કરવા સૂચના અપાશે. રાજપીપળા નગરપાલિકામાં આ વખતે પણ પૂર્ણ બહુમતી મેળવવાના ઉદ્દેશ્યથી ભાજપે આ માસ્ટર પ્લાન અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:57 pm

Editor's View: શાંતિ, સસ્પેન્સ અને સંકટ:યુદ્ધનો ટ્રિપલ એટેક, 36 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં, આવતીકાલે છેલ્લો ઘા, ખાતર-ઓઈલ-ગેસ મોંઘા ને પાયમાલીનો પર્વત

શું દુનિયા ખરેખર ભૂખમરાના કિનારે ઉભી છે કે આ ખાલી રાજકારણની જ ગરમી છે? કારણ કે એક બાજુ ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મિસાઈલો વરસી રહી છે, તો બીજી બાજુ ઇસ્લામાબાદમાં શાંતિ માટે હાઈ-સ્ટેક્સ બેઠકની વાત છે. પણ અહીં ટ્વિસ્ટ એવો આવ્યો કે પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા ઈરાન અને અમેરિકાની મીટિંગ થાય તે પહેલા જ પાકિસ્તાનના મંત્રીએ એવી તડકતી ભડકતી ટ્વીટ લખી કે મીટિંગ પહેલા જ આગ લાગી ગઈ. આ વચ્ચે હોર્મુઝમાં ઈરાને ફરી કબજો જમાવી, જલડમરુંને બંધ કરી દીધું છે. આટલું જ નહીં ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાઈ ચેઈન તૂટી પડી છે. જેના પર IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સાથે મળીને ધડાકો કર્યો છે કે ખાતર-ટ્રાન્સપોર્ટેશન અને તેલના ભાવ વધવાથી મોંઘવારી થશે અને તેના કારણે દુનિયાના ગરીબ દેશો ભૂખમરામાં આવી જશે. આ ગૂંચવાયેલી ડિપ્લોમસીની વાત આજે આપણે કરીશું. નમસ્કાર... એક બાજુ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ છે, તો બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધની લાંબી અસરોએ સાથે મળીને ગ્લોબલ સપ્લાય ચેઇનને ધૂળધાણી કરી નાખી છે. પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવા મીટિંગ કરે તે પહેલા જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા એમ. આસીફની X પોસ્ટે આગ લગાવી, તેમણે લખ્યું છે કે, ઈઝરાયલે પાક.ની મધ્યસ્થીને ઉઘાડી પાડી જ્યારે કોઈ દેશ બે દેશ વચ્ચે ઝઘડો પૂરો કરતો હોય ત્યારે તે કોઈની પણ બાજુ ન હોવો જોઈએ. પણ પાકિસ્તાનના રક્ષા મંત્રીનું આ નિવેદન તે જ ન્યુટ્રાલિટીના ધજાગરા ઉડાવતું નજરે આવે છે. આ નિવેદને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પણ ડિપ્લોમેટિક લેવલે પણ ભૂકંપ લાવી દીધો છે. પોતાના દેશનું આવું અપમાન ઈઝરાયલ પણ થોડું સહન કરે? તેમણે પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પાકિસ્તાનને ચીઠ્ઠીનો છૂટ્ટો ઘા કરીને લખ્યું, “ઈઝરાયલના સર્વનાશ માટેનું આહ્વાહન અત્યંત આઘાતજનક. ઈઝરાયલ આ સહન નહીં કરે,ખાસ કરીને મધ્યસ્થીનો દાવો કરનારનું.” પાક.ની આંખ ખૂલી તો બપોર થઈ ગયું પછી તો શું ઈન્ટરનેશલ દબાણ એટલું વધ્યું કે ખ્વાજા એમ. આસીફે ટ્વીટ ડિલિટ કરવી પડી. પણ અબ પછતા કે ક્યા ફાયદા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત? તેના જેવા હાલ થયા. નુકસાન તો થઈ ચૂક્યું છે. ડિલિટ કરતાની સાથે જ એ સાબિત થઈ ગયું કે પાકિસ્તાન અત્યારે સૂડી વચ્ચે સોપારીના હાલમાં છે. એક બાજુ તેમને પોતાના ઘરના કટ્ટરપંથીઓના અહમને સંતોષવાનો છે તો બીજી બાજુ અમેરિકા અને ચીન સામે પોતાને હોંશિયાર સાબિત કરવાનું છે. આજે નહીં આવતીકાલે થશે યુદ્ધ રોકવાની મીટિંગ હવે આપણે એ વાત કરીએ જે આજે સૌથી વધુ ચર્ચામાં રહેવાની હતી પણ થયું કંઈક બીજું. વાત જાણે એમ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઇસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાનની બેઠક મળવાની હતી. પણ ઈરાન લેબનોન હુમલા સામે વિરોધ કરીને પાકિસ્તાન નથી આવ્યું. પછી નક્કી કરવામાં આવ્યું કે આજની બેઠક 11 એપ્રિલે એટલે કે કાલે થશે. વાત અહીં જ નથી અટકતી, એવી પણ વાત છે કે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફના ઇઝરાયેલ વિરોધી વિવાદાસ્પદ નિવેદનથી મોટો ડખો થયો છે. ઇઝરાયેલના આકરા પ્રહાર અને અમેરિકાના દબાણ વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. હવે આખી દુનિયાની નજર આવતીકાલના ફેંસલા પર છે. ઈરાનની અડધી સેનાનો ખાત્મો? હવે યુદ્ધ અને તેની માઠી અસરોની વાત કરીએ તો ઈરાન ગુરિલ્લા યુદ્ધમાં માહેર છે પણ ઈઝરાયલ અને અમેરિકાના આકાશથી બોમ્બમારામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. કહેવાય છે કે પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામૈનીના ગયા પછી સૈનિકોની ક્ષમતા 50 ટકા જેટલી ઘટી ગઈ છે. અંદરખાને એવા પણ રિપોર્ટ્સ છે કે ઈરાનમાં પણ હવે બે ભાગ પડ્યા છે. એકને યુદ્ધ ચાલુ રાખવું છે અને બીજાને જે નુકસાન થયું છે તેની ભરપાઈ અને તમામ પ્રકારના પ્રતિબંધોમાંથી છૂટ જોઈએ છે. ઈરાનનો દસનો દમ, અમેરિકાનો પંદરનો પંચપાકિસ્તાની બેઠકમાં આવતીકાલે ઈરાનના 10 મુદ્દાના અને અમેરિકાના 15 મુદ્દાના યુદ્ધ બંધીના કાગળિયા મૂકાવાના છે તેની વાત કરીએ તો આ રાજકીય ખેંચતાણની સીધી અસર ગ્લોબલ ઈકોનોમી પર પડી રહી છે. ગ્લોબલ તેલ પૂરવઠામાં 13થી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેલના ભાવ પ્રતિ બેરલ 140 ડોલરથી વધુ પહોંચ્યા છે. જેણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતીના ખર્ચામાં વધારો કરી દીધો છે. જ્યારે દુનિયાના નેતાઓ એસી રૂમમાં બેસીને શરતો પર ચર્ચાઓ કરે છે ત્યારે સામાન્ય નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. થોડા સમય પહેલા થયેલા રશિયા યુક્રેનના યુદ્ધે પહેલેથી જ ફટકો માર્યો છે ને હવે મિડલ ઈસ્ટના યુદ્ધે પણ ખાતર અને તેલ-ગેસના પૂરવઠાને તોડી નાખ્યો છે. જેના કારણે આજે લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર થઈ ગયા છે. હવે થોડી વાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના યુદ્ધ પછીની અસરના આંકડાઓની પણ વાત કરીએ. IMF અને WFPએ એટમ બોમ્બ ફોડ્યો વર્ષ 2026 માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે સરેરાશ ગ્લોબલ જીડીપીનો અંદાજ 3.3 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો પણ યુદ્ધના કારણે તેમાં ઘટાડો થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના દેશો કે જ્યાં યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યાં જીડીપી દર 2.4 ટકાથી ઘટીને 1.8 ટકા સુધી આવી શકે તેવી સંભાવના છે. વિસ્તારો મુજબ જીડીપીની સંભાવનાની વાત કરીએ તો અમેરિકાની 2.4, યુરોપની 1.5, ચીનની 4.6 અને દક્ષિણ એશિયાની સરેરાશ 5.1 ટકા જીડીપી રહી શકે તેવો IMFનો અંદાજો છે. હોર્મુઝ બંધ હોવાના કારણે શિપિંગમાં 90 ટકાનો ફટકો પડ્યો છે. કતાર જેવા મોટા ગેસ પ્રોડક્શનવાળા દેશો હવે એક્સપોર્ટ નથી કરી શકતા. જેના લીધે યુરોપમાં વીજળીના ભાવ 60 ટકા જેટલા વધી ગયા છે. તેલના ભાવ પણ પ્રતિ બેરલ 140 ડોલરને પાર પહોંચી ગયા હતા. યુદ્ધમાં ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીનું ગળું દબાયું સેમિકન્ડક્ટર જેવી વસ્તુઓ બનાવવા માટે જે હિલિયમ અને એલ્યુમિનિયમનો સપ્લાય ખોરવાયો છે તેના કારણે ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રી પણ અટવાઈ છે. દરિયામાં ચાલતા જહાજોના ઈન્શ્યોરન્સની વાત કરીએ તો પ્રિમિયમમાં પણ 50 ટકા વધારો થયો છે, જેનો અલ્ટીમેટ બોજો તો લોકો માથે જ આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું કહેવું છે કે ભૂખમરો થશે તો તેનું સૌથી મોટું કારણ અનાજની કમી નથી પણ ખાતરના ભાવ છે. ખાતર બનાવવા માટે જે એમોનિયા અને નાઈટ્રોજન વાપરવામાં આવે છે તે યુદ્ધ વિસ્તારના દેશોથી જ આવે છે. જો ખેડૂત જ ખાતર નહીં વાપરે તો આવનાર મોસમમાં પાકનું પ્રોડક્શન પણ ઘટી શકે છે. દુનિયા પર દુષ્કાળ અને ભૂખમરાનું જોખમ WFP મુજબ આપણે ભયાનક દુષ્કાળ બાજુ પણ વળી શકીએ તેવી સંભાવના છે. 36.3 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં આવી ગયા છે. 2019માં જેટલો ભૂખમરો હતો આ આંકડો તેનાથી બેગણો છે. આપણી વચ્ચે દુનિયામાં એવા પણ પરિવારો છે તેમને બે ટંકનું ભોજન જ નસીબ નથી થઈ રહ્યું. ભૂખમરાના હોટસ્પોટ દેશોની વાત કરીએ તો… સુદાન અને દક્ષિણ સુદાનમાં સદીનો સૌથી મોટો દુષ્કાળ થઈ શકે છે. યમન દેશ 80 ટકા ખાવાની વસ્તુઓ બીજા દેશ પાસેથી મગાવે છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન તૂટતા હાહાકાર મચ્યો છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો ઈરાન અને પાકિસ્તાનના વેપારી માર્ગો બંધ થતાં 1.2 કરોડ લોકો કટોકટીમાં છે. આફ્રિકામાં આવેલા સોમાલિયા અને ઈથિયોપિયા જેવા દેશો તેલના ભાવ વધતા અનાજના ફાંફાં પડી રહ્યા છે. મિડલ ક્લાસ ખલ્લાસ, ગરીબ પાયમાલ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો માર્ચ 2026માં ખાવાની વસ્તુઓમાં દુનિયા લેવલે સરેરાશ 2.4 ટકાનો ભાવ વધારો થયો છે. તે મોંઘવારીની પહેલી વેવ હતી આ સેકન્ડ વેવ છે. દરેક 10 ટકા તેલના ભાવનો વધારો ગ્લોબલ ઈન્ફ્લેશનમાં 0.4 ટકાનો વધારો કરી દે છે. આ આંકડાઓ એવું કહી જાય છે કે મિડલ ક્લાસ ફેમેલી પાસે ખાવાની વસ્તુઓ છે તે પૂરી થઈ રહી છે અને ગરીબ લોકો પાયમાલ થઈ રહ્યા છે. એવામાં બની શકે કે દુનિયામાં આવનાર સમયમાં સિવિલ વોર કે અનાજ માટેના રમખાણો પણ થઈ શકે છે. 67 લાખ પાકિસ્તાની ભૂખ ભેગા થશે આવી પરિસ્થિતિ છે તો ભારતની આસપાસના દેશોના શું હાલ છે તેની વાત કરવી પણ બને. પાકિસ્તાનની વાત કરીએ તો 67 લાખ લોકો ભૂખમરાની હાલતમાં આવવાના છે અને 35 ટકાનો ફુગાવો પણ થઈ ગયો છે. આ બધુ તેલ-ગેસ-ખાતર વગેરેમાં સપ્લાઈ ચેઈન તૂટી છે તેના કારણે થયું છે. પાકિસ્તાનના મુસાખેલ અને ઝોબમાં 30% ભૂખમરો શ્રીલંકાની જ વાત કરીએ તો 26 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે. 39 ટકા પરિવારોને ખાવાના ફાંફાં પડી શકે છે. બાંગ્લાદેશમાં લાઈટ ગુલ, ફેક્ટ્રીમાં ફાંફાં બાંગ્લાદેશમાં 8-9 ટકા આસપાસ ફુગાવો પહોંચી ગયો છે. લોકોની ખર્ચો કરવાની તાકાત તૂટી ગઈ છે. હોર્મુઝ બંધ હોવાના કારણે ઘઉં અને ગેસની કમી છે. બાંગ્લાદેશની ગાર્મેન્ટ ફેક્ટરીમાં પણ વીજળીના ફાંફાં પડી શકે છે. દુનિયાભરના એક્સપર્ટ્સ ઇસ્લામાબાદ સમિટને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેમનું શું કહેવું છે તેની વાત કરીએ તો માનવતાને ભૂખમરાથી બચવાની છેલ્લી તક વૈશ્વિક નેતાઓના નિવેદનોમાં શાંતિ ઓછી અને આક્રમકતા વધુ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચોખ્ખું કહી રહ્યા છે કે જો હોર્મુઝ નહીં ખુલે તો ઈરાને પરિણામ ભોગવવા પડશે. બીજી બાજુ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની શહીદોના લોહીના વળતરની માંગ કરી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તો સ્પષ્ટ કરી દીધું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેનું તેમનું ઓપરેશન એટર્નલ ડાર્કનેસ અટકવાનું નથી. આ તમામ નિવેદનો વચ્ચે એક વાત ચોખ્ખી છે, ઇસ્લામાબાદ સમિટ 2026 એ માનવતાને ભૂખમરાથી બચાવવાની છેલ્લી તક છે. જો આ મંત્રણાઓ નિષ્ફળ જશે, તો 2027માં દુનિયાએ એવા અનાજ રમખાણો જોવા પડશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. અને છેલ્લે… પાકિસ્તાનની મીટિંગમાં સસ્પેન્સ વધ્યું છે; ઈરાની ડેલિગેશન હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યું નથી. લેબનોન પર ઈઝરાયેલી હુમલાથી ઈરાન લાલચોળ છે, જેના કારણે 8 એપ્રિલનો યુદ્ધવિરામ હવે જોખમમાં છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ઈરાન પાકિસ્તાન પહોંચી ગયું છે પણ આ સમાચાર માત્ર અફવા નીકળ્યા. શું આ બેઠક ખરેખર યોજાશે? હવે આખી દુનિયાની નજર આવતીકાલના આ ગૂંચવાયેલા ડિપ્લોમેટિક ફેંસલા પર છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:55 pm

હિટ એન્ડ રનમાં 5 વર્ષના બાળકનું મોત:જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી 5 વર્ષનો પુત્ર તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો, અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો

રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેલમાં રહેલા પિતાને કોર્ટમાં મુદત હોય જેથી માધાપર ચોકડી પાસે રહેતો 5 વર્ષનો બાળક તેના ફઈ સાથે પિતાને કોર્ટે મળવા માટે ચાલીને જતો હતો ત્યારે નવી કોર્ટ પાસે અજાણ્યા કાર ચાલક બાળકને અડફેટે લઇ નાસી છુટયો હતો. આ અકસ્માતમાં બાળકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં માધાપર ચોકડી પાસે જામનગર રોડ પર નાગેશ્વર બસ સ્ટેશન પાસે આવેલા શેઠનગરમાં રહેતો માસુમ બાળક રાજ નિતેશભાઈ વાજેલીયા આજે સવારે 11 વાગ્યા આસપાસ તેના ફઈ વસંતબેન સાથે ચાલીને જામનગર રોડ પર નવી કોર્ટે જતો હતો ત્યારે નવી કોર્ટ વાળા રસ્તે પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે બાળકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. અકસ્માતના પગલે રાજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજના પિતા નિતેશભાઈ વિરૂધ્ધ ગુનો નોંધાયેલો હોવાથી હાલ તેઓ જેલમાં છે. આજે તેમની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ કોર્ટે આવવાના હોવાથી રાજ તેના પિતાને મળવા ફઈ વસંતબેન સાથે ચાલીને કોર્ટે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ યુનિવર્સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:46 pm

સાપુતારાના નવાગામ તળાવમાં કૂદી કિશોરીની આત્મહત્યા:પ્રેમ સંબંધમાં નિરાશાથી માનસિક વ્યથિત બની જીવન ટૂંકાવ્યું, પ્રેમીના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થયા હતા

ડાંગ જિલ્લામાં આવેલ પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારાના નવાગામ તળાવ ખાતે એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે, જેમાં એક કિશોરીએ તળાવમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કિશોરી પોતાના પ્રેમી સાથે સંબંધમાં હતી. પરંતુ છેલ્લા સમયમાં તેના પ્રેમીનો અન્ય એક યુવતી સાથે લગ્ન કરવાની ચર્ચા ચાલી રહી હોવાનું કિશોરીએ સાંભળ્યું હતું. આ વાતથી કિશોરી માનસિક રીતે અત્યંત વ્યથિત બની ગઈ હતી. અંતે આ દુઃખ સહન ન કરી શકતાં કિશોરીએ પોતાની રીતે નવાગામ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ હોમગાર્ડના જવાનો, સાપુતારા બોટિંગ સ્ટાફ અને નોટિફાઈડ ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. તમામ ટીમોએ તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. અંદાજે દોઢ કલાકની ભારે મહેનત બાદ કિશોરીની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા કિશોરીની લાશનો કબજો મેળવી તેને શામગહાન CHC દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલ સાપુતારા પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે વિગતવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટના યુવાનોમાં વધતી માનસિક તણાવ અને લાગણીશીલ નબળાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમાજ અને પરિવાર દ્વારા આવા સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવાની જરૂરિયાત પણ આ બનાવ દ્વારા ઉજાગર થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:44 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી:ભાજપે 40 નામો જાહેર કર્યા, કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપી; ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 40 બેઠકોના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર કર્યા વિના જ ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી ચૂંટણી લડવા લીલી ઝંડી આપી છે. આ સૂચના મળતા જ આજથી કોંગ્રેસના ઉમેદવારોએ પાટણ પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સરકારી કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી આજે એક જ દિવસમાં 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસ તરફથી દશરથલાલ જેસંગલાલ ભીલ, આકાશકુમાર દશરથલાલ ભીલ, દક્ષાબેન રજનીકાંત સોલંકી, સુરેશકુમાર મફતલાલ પટેલ અને મનીષાબેન જશવંતભાઇ ઠકકરે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી (AAP) તરફથી હિતેશકુમાર જયંતિભાઇ પટેલ, ધર્માભાઇ શિવાભાઇ ચમાર, ઉપેશ પનાલાલ પંચાલ અને રાજેશ ભેમજી ભાઈ ઠાકોરે ફોર્મ ભર્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે પુનમભાઇ શકરાભાઇ પટણી અને ભરતકુમાર જયંતીલાલ ભાટીયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ચૂંટણી જંગમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કોંગ્રેસની આ રણનીતિને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી, તંત્ર દ્વારા પ્રાંત કચેરી ખાતે ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. હાલમાં, તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ વોર્ડ વાઈઝ પ્રચાર અને સંગઠનની કામગીરી પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:41 pm

ગોધરામાં પોલીસ અધિક્ષકે રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો:થેલેસેમિયા પીડિત બાળકો માટે પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું

ગોધરા તાલુકા પોલીસમથક વિસ્તારમાં થેલેસેમિયા અને સિકલસેલથી પીડિત બાળકોને મદદરૂપ થવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર પંચમહાલ જિલ્લા પોલીસ, સાર્થક સેવા ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે શિબિરનું નેતૃત્વ કર્યું હતું અને સ્વયં રક્તદાન કરીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે તાલુકા પીઆઇ એ. વાય. પટેલે પણ રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં પોલીસ સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી આવા કેમ્પો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગોધરા સ્થિત સાર્થક સેવા ફાઉન્ડેશન હાલમાં આશરે 184 થેલેસેમિયા અને સિકલ સેલના બાળકોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડી રહ્યું છે. આ રક્તદાન શિબિર દ્વારા એકત્રિત થયેલું રક્ત આ બાળકોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:39 pm

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટ આવશે:AIIMS ખાતેની પ્રથમ બેચના પદવીદાન સમારોહમાં હાજરી આપશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે

સોમવારે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટમાં આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિધાર્થીઓને એમ.બી.બી.એસ સ્નાતક ડિગ્રી અપાશે, જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રેસકોર્સમાં આવતીકાલથી 17 એપ્રિલ ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાશે, વર્લ્ડ રેકોર્ડ યજ્ઞનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે તા. 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે બપોરે 3:00 વાગ્યે BAPS મંદિરથી રેસકોર્સ સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. જેમાં 2,500થી વધુ મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઇ હતી. મુખ્ય આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા અપૂર્વમુનિ સ્વામી સતત 6 દિવસ સુધી હૃદયસ્પર્શી પ્રવચનો આપશે. આ ઉપરાંત, 3 થી 13 વર્ષના બાળકો દ્વારા દરરોજ પારિવારિક શાંતિ યજ્ઞ યોજાશે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે. મહોત્સવના અંતિમ દિવસે 17 એપ્રિલે વિરાટ મહિલાદિન અંતર્ગત ‘લક્ષ્મણરેખા’ વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ માટે 4 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં 50,000 ખુરશીઓ, 1,000 સોફા, 40 ફૂટની વિશાળ LED સ્ક્રીન અને 135 ફૂટ પહોળા બે કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયા છે. મેદાનમાં 25 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની પ્રતિમા અને 7 સનાતન મંદિરોની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધાર્મિક મહોત્સવમાં સૌપ્રથમ આધ્યાત્મિક સંદેશાઓ માટે AI ટેકનોલોજી, ડિજિટલ વિઝયુઅલ્સનો ઉપયોગ કરવામાં આવશે. કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત મંડળે તમામ ધર્મપ્રેમી જનતાને દિવ્ય મહોત્સવમાં પધારવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:36 pm

14 સ્થળોએ ઠંડા પાણીની પરબ અને 5000 ORS પેકેટનું વિતરણ:હીટ વેવ સામે ગાંધીનગર મનપાનું પ્લાનિંગ, મે માસમાં પારો 39 ડિગ્રી વટાવવાની ભીતિ

પાટનગરમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે નાગરિકોને લૂ અને હીટ વેવથી બચાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર જવાની શક્યતાને જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબોહવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 સેન્ટીગ્રેડને પાર જવાની શક્યતાના પગલે મનપા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અન્ય 50 જેટલી પરબો કાર્યરત કરી દેવાઈ છે. 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરાયુંઆ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ અને ટ્રાફિક સિગ્નલ જેવા પોઈન્ટ્સ પર અત્યાર સુધીમાં 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવાનું પણ આયોજન છે. હીટ સ્ટ્રોકના લક્ષણો જાણોમનપા તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સુતરાઉ કપડાં તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. આરોગ્ય શાખાએ ખાસ તાકીદ કરી છે કે જો માથું દુખવું, ઉલટી-ઝાડા કે ચક્કર આવવા જેવા હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વધુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને ભારે શારીરિક શ્રમ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:32 pm

મોડાસાની બે વિદ્યાર્થિનીઓ ગૌરવ વધાર્યું:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી પરીક્ષામાં મોડાસાની બે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. PGDCA સેમેસ્ટર-૨માં ખાનજી અકશા જે. અને BCA સેમેસ્ટર-૬માં પટેલ જાનવીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થિનીઓનો પદવીદાન સમારોહ પાટણ ખાતેની યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી હતી. ડો. એન. શાહ પીજીડીસીએ અને બીસીએ કોલેજ, મોડાસા માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ જે. મોદી અને પ્રભારીમંત્રી પરેશભાઈ બી. મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, કોલેજના કાર્યકારી આચાર્ય સંજયભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે પણ બંને વિદ્યાર્થિનીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:15 pm

મોરબી મહાપાલિકા ચૂંટણી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ:511 ઉમેદવારી ફોર્મ ઉપાડાયા, માત્ર 75 ફોર્મ જ ભરાયા; ભાજપના ઉમેદવારો જાહેર ન થતા રાજકીય અવઢવ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવાર સાંજ સુધી તેના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જ્યારે માત્ર 75 ફોર્મ જ ભરાયા છે. શુક્રવારે દિવસ દરમિયાન વધુ 44 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે, ભાજપે તેના સત્તાવાર ઉમેદવારોના નામ શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી પણ જાહેર કર્યા ન હતા. આ દરમિયાન, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના કેટલાક અગ્રણીઓએ સંભવિત ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. ચૂંટણી વિભાગના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે 171 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 511 ઉમેદવારી પત્રો ઉપડ્યા છે. ગુરુવાર સુધીમાં 31 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં શુક્રવારે ભરાયેલા 44 પત્રો ઉમેરાતા કુલ આંકડો 75 પર પહોંચ્યો છે. આ પૈકી વોર્ડ નંબર 1થી 4માં 23, વોર્ડ નંબર 5થી 9માં 31 અને વોર્ડ નંબર 10થી 13માં 21 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે, જે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની તક છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસેથી ચૂંટણી લડવા માટે 427 દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. ટિકિટના દાવેદારોની આ મોટી સંખ્યાને કારણે ભાજપના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અસંતોષ ફાટી નીકળવાની શક્યતા છે. નારાજ થયેલા ભાજપના કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. શનિવારે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:08 pm

વડોદરા ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો:વોર્ડ નં. 18માં આયાતી ઉમેદવારો સામે કાર્યકરોનો બળવો

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં ભાજપ દ્વારા બે 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવાર ચેતન પરમાર અને દીપા પંચાલની પસંદગી સામે દાવેદારો અને કાર્યકરોએ પરિવારવાદનો આક્ષેપ કરી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ અસંતોષને પગલે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા. ટિકિટ જાહેર થયા બાદ વોર્ડના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દાવેદારોએ આક્ષેપ કર્યો છે કે પક્ષ દ્વારા લાયક સ્થાનિક નેતાઓની અવગણના કરીને બહારના ઉમેદવારોને થોપી દેવામાં આવ્યા છે. આ મામલે રજૂઆત કરતા એક દાવેદાર જાહેરમાં ભાવુક થઈ ગયા હતા અને પક્ષના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવારો બદલવામાં નહીં આવે તો તેઓ તેમના સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામા આપી દેશે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ધારાસભ્ય યોગેશ પટેલના અગાઉના નિવેદનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્યએ પોતે કહ્યું હતું કે જો બહારના ઉમેદવાર આવે તો લડજો. હવે જ્યારે ખરેખર આયાતી ઉમેદવારો આવ્યા છે, ત્યારે સ્થાનિક સંગઠન લડત આપવાના મૂડમાં છે. કાર્યકરોનો સીધો આક્ષેપ છે કે ટિકિટ વિતરણમાં પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે પાયાના કાર્યકરો સાથે અન્યાય સમાન છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:52 pm

પૂર્વ પ્રમુખ-ચેરમેન સહિતના પતા કપાયા:રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક પર ઉમેદવાર જાહેર, લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર ચૂંટણી લડશે

રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર આજે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાતરાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયાજિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપીરાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતુંવર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:43 pm

બોટાદ નગરપાલિકા ચૂંટણી: ભાજપે 30 જેટલા કાર્યકરોને ફોન કર્યા:ઉમેદવારી પત્ર ભરવા સૂચના, સત્તાવાર યાદી જાહેર નથી

બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને આંતરિક હલચલ જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ કાર્યાલય દ્વારા આશરે 25 થી 30 જેટલા કાર્યકરોને ફોન કરીને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સૂચના અપાઈ છે. આ કાર્યકરોમાં હરેશભાઈ ધાંધલ, રવજીભાઈ વાટુકિયા, નિતીન સુતરીયા, નિકાબા પરમાર, દિનેશ દલસાણીયા, રાજેશ માથુકિયા, કમા મીર, ગીતાબેન ગોલાણી, હેમાનગીબેન રંગાણી અને વનરાજ રાઘવાણીનો સમાવેશ થાય છે. તેમને આગામી દિવસમાં ફોર્મ ભરવા જણાવાયું છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને કુલ 44 બેઠકો છે. તેમાંથી લગભગ ૩૦ જેટલા કાર્યકરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ફોન મળ્યા બાદ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ ઘટનાક્રમ વચ્ચે, વર્તમાન સભ્યોમાંથી કોને ફરી તક મળશે અને કોની ટિકિટ કપાશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં, ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. હવે સૌની નજર ભાજપ દ્વારા સત્તાવાર યાદી ક્યારે જાહેર થાય છે અને કયા ઉમેદવારોને ટિકિટ મળે છે તેના પર રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:42 pm

ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો...: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું

Keir Starmer on Iran war: વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ અને ખાસ કરીને ઈરાન યુદ્ધને કારણે પેદા થયેલા ક્રૂડ સંકટની અસરો હવે બ્રિટનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટારમરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. સ્ટારમરનું કહેવું છે કે, આ બંને દેશોની નીતિઓને કારણે બ્રિટનના સામાન્ય લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હું કંટાળી ગયો છું..

ગુજરાત સમાચાર 10 Apr 2026 6:30 pm

સાવરકુંડલા ભાજપમાં ભડકો: બે નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસમાં જોડાયા:ટિકિટ ન મળતા ધર્મેન્દ્ર મહેતા,અનિરુદ્ધસિંહ વાજાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. બે અગ્રણી નેતાઓ, ધર્મેન્દ્ર મહેતા અને અનિરુદ્ધસિંહ વાજાએ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના વર્તમાન સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ ભાજપના સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેવી જ રીતે, સાવરકુંડલા શહેર ભાજપના સક્રિય કાર્યકર અને શક્તિકેન્દ્રના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ વાજાએ પણ પક્ષના હોદ્દાઓ અને સક્રિય સભ્યપદ છોડી દીધું છે. ભાજપ છોડ્યા બાદ આ બંને નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ધર્મેન્દ્ર મહેતાએ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જ્યારે અનિરુદ્ધસિંહ વાજાએ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવારી નોંધાવી છે. આ ઘટના ધારાસભ્ય મહેશ કસવાલાના હોમટાઉન સાવરકુંડલામાં બની હોવાથી રાજકીય રીતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને ભાજપ માટે પડકારો વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:29 pm

સાબરમતીના ઉમેદવારનું નામ વોર્ડની યાદીમાં ઉમેરવાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી:ઉમેદવારનું નામ SIR બાદ વિધાનસભા મતદાર યાદીમાં નહોતું, ઓથોરિટી સમક્ષ અરજી બાદ ઉમેરવામાં આવ્યું હતું

અમદાવાદથી વર્ષા કટારા દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન અને અન્ય સંસ્થાઓને પક્ષકાર બનાવીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે સાબરમતી વિસ્તારના વોર્ડ નંબર 4 ની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા વિનંતી કરી હતી. યાદીમાં નામ ઉમેરવાની અરજી 1 એપ્રિલ, 2026ના મંજૂરઅરજદારનું નામ SIR પ્રક્રિયા બાદ વિધાનસભા મતવિસ્તારની યાદીમાં ન હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક યાદીમાં પણ તેમનું નામ આવ્યું નહોતું. તેમણે 23 માર્ચ, 2026 ના રોજ નામ ઉમેરવા માટે ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. વિધાનસભા મતવિસ્તારની યાદીમાં નામ ઉમેરવાની તેમની અરજી 1 એપ્રિલ, 2026 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા હકદારકોર્ટે અવલોકન કર્યું હતુ કે રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય વિધાનસભાની મતદાર યાદીમાંથી AMC ની મતદાર યાદી તૈયાર કરવાનું છે અને તેને સ્વતંત્ર રીતે નામ ઉમેરવા કે ઘટાડવાનો અધિકાર નથી. કોર્ટે જણાવ્યું હતું કે વિધાનસભાની યાદીમાં નામ સામેલ થતા જ અરજદાર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હકદાર બને છે. વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશઅરજદારે 10 દિવસની નિયત સમય મર્યાદા પહેલા અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરી હોવાથી, તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું જરૂરી છે. હાઈકોર્ટે આ અરજી મંજૂર કરી છે અને અરજદારનું નામ વોર્ડ નંબર 4 સાબરમતીની મતદાર યાદીમાં સામેલ કરવા આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:25 pm

ભાજપના ગઢમાં ગાબડું, બેચરાજીના 200 પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાયા:પાટીદાર અગ્રણીએ કહ્યું, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં મરતોલી અને અજબપુરા ગામના અંદાજે 200 જેટલા પાટીદાર યુવાનો અને આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં આ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. 'ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી 'કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર અગ્રણી મહેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં પાટીદારોની કોઈ કિંમત નથી અને સતત અવગણના કરવામાં આવી રહી છે. સમાજની વેલ્યુ ન જળવાતી હોવાને કારણે મરતોલી અને અજબપુરા ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેના પરિણામે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવાનોનો સંકલ્પનવા જોડાયેલા યુવાનોએ સંકલ્પ કર્યો છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મરતોલી તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવશે. મહેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આજીવન કોંગ્રેસના સમર્થક રહેશે અને દેશને એકસૂત્રે જોડવા માટે કાર્ય કરશે. કાર્યકરોમાં એવો વિશ્વાસ જોવા મળ્યો હતો કે જનહિત માટે કોંગ્રેસ શાસન અનિવાર્ય છે. પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાચૂંટણી પહેલા જ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડતા અને મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કોંગ્રેસ તરફ વળતા ભાજપના છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે કોંગ્રેસમાં નવા જોમ અને ઉત્સાહનો સંચાર થયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:25 pm

અંતિમ ક્ષણનો સસ્પેન્સ: વેરાવળ પાટણ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ચક્રવ્યૂહ:44 બેઠકો સામે માત્ર 7 ઉમેદવારી ફોર્મ – ભાજપ-કોંગ્રેસ હજુ મૌન, શહેરમાં ચર્ચાઓ ગરમ

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે, પરંતુ ઉમેદવારી પ્રક્રિયામાં જોવા મળતી ધીમી ગતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ચૂંટણીના અંતિમ દિવસના એક દિવસ પહેલાં, તા. 10 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી માત્ર 7 ઉમેદવારી પત્રો જ રજૂ થવાને કારણે રાજકીય પરિસ્થિતિમાં અનિશ્ચિતતા અને ઉત્સુકતા બંનેનો માહોલ સર્જાયો છે. માત્ર આમ આદમી પાર્ટી સક્રિય, અન્ય પક્ષો હજુ રાહમાં હાલ સુધી નોંધાયેલા તમામ 7 ઉમેદવારી પત્રો આમ આદમી પાર્ટી દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે પ્રાથમિક તબક્કામાં માત્ર એક જ પક્ષ મેદાનમાં ઉતર્યો છે. વોર્ડ પ્રમાણે જોતા – વોર્ડ 1 માં ચેતનભાઈ વૈષ્ણવ, વોર્ડ 2 માં રંજનબેન પંડિત અને ઇમરાનભાઈ કોટવાલ, વોર્ડ 3 માં મનસુખભાઈ પરમાર, વોર્ડ 6 માં ફુલીબેન હાલા, વોર્ડ 9 માં રાજુભાઈ બારીયા અને લક્ષ્મીબેન ફોફંડી, વોર્ડ 10 માં ગોપાલભાઈ વાજા – ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. હજુ અનેક વોર્ડ ખાલી છે, જે દર્શાવે છે કે મુખ્ય રાજકીય રમતમાં અસલી ચાળો હવે અંતિમ દિવસે જોવા મળશે. ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે ઘમાસાણ રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારી પ્રક્રિયામાં પ્રવેશ્યા નથી. બંને પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને ભારે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસે આ વખતે “નો રિપીટ થિયરી” અમલમાં મૂકતા જૂના ચહેરાઓને બદલે નવા ઉમેદવારોને તક આપવાની તૈયારી દર્શાવી છે. જેના કારણે પક્ષમાં દાવેદારોની સંખ્યા વધી અને અંતિમ પસંદગીમાં વિલંબ થયો છે. બીજી તરફ ભાજપમાં કોણે ફરી ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તે મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આધારભૂત સૂત્રો મુજબ કેટલાક દાવેદારોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા જણાવાયું છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અંતિમ દિવસે રાજકીય ઘસારો નિશ્ચિત આવતીકાલે તા. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો મોટો ઘસારો જોવા મળવાની પૂરી શક્યતા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અંતિમ ક્ષણ સુધી રાહ જોવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે, જેથી આંતરિક અસંતોષ ઓછો રહે અને સમીકરણો સંતુલિત રહે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:23 pm

અમરેલી RTOએ 200 વાહનોને રેડિયમ પટ્ટા લગાવ્યા:માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ અકસ્માત નિવારણ અભિયાન હાથ ધરાયું

અમરેલી RTO દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 200થી વધુ ટ્રેક્ટર અને અન્ય વાહનોને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા. આ કામગીરી જિલ્લાભરની APMCમાં રેડિયમ પટ્ટા લગાવવાના કેમ્પના આયોજનનો એક ભાગ છે. અમરેલી APMC ખાતે યોજાયેલા આ કેમ્પમાં ટ્રેક્ટર, ટ્રેલર અને છકડા સહિત 200થી વધુ વાહનોને વિનામૂલ્યે પીળા અને લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. આ પટ્ટા વાહનોની બાજુઓ પર લગાવાયા હતા. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે. ગ્રામીણ વિસ્તારોના નાના રસ્તાઓ પર રાત્રિના સમયે લાઇટનો અભાવ હોય છે. આવા સમયે ટ્રેલર, છકડા કે સનેડા જેવા વાહનોમાં પાછળની લાઇટ ન હોવાથી પાછળથી આવતા ઝડપી વાહનોને તે દેખાતા નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં RTO દ્વારા માર્ગ સુરક્ષા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેડિયમ પટ્ટા લગાવવાની આ કામગીરી પણ સંભવિત અકસ્માતોને નિવારવાના આ જ પ્રયાસનો એક ભાગ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:21 pm

SOGએ ટ્રકના ચેસીસ નંબર બદલતી ટોળકી ઝડપી:હોટલના પાર્કિંગમાં શંકાસ્પદ ટ્રક પર 2 RTOના રજીસ્ટ્રેશન નંબર, ₹15 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા

પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ટ્રકના ચેસીસ નંબર બદલીને ગેરકાયદેસર રીતે વાહનોનું વેચાણ કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સ્ટાર હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં પાર્ક કરેલી એક ટાટા ટ્રક શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ટ્રક પર બે અલગ-અલગ આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર લખેલા હતા. પ્રાથમિક તપાસમાં આ ટ્રક યામીન અહમદ ભીમલાની હોવાનું સામે આવ્યું હતું. મોડસ ઓપરેન્ડીપોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મુખ્ય આરોપી મોહમ્મદ સાલેહ ફારુક બક્કરે અગાઉ એક ટ્રક સ્ક્રેપમાં ખરીદી હતી. તેણે સરફરાજ નૂરુભાઈ લુહાર નામના શખ્સની મદદથી તે સ્ક્રેપ ટ્રકનો ચેસીસ નંબર બીજી ટ્રક પર પંચિંગ ડાઈની મદદથી પંચિંગ કરાવ્યો હતો. આ ફેરફાર કર્યા બાદ, ટ્રક પર અન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવીને આર.ટી.ઓ.માં યામીન અહમદ ભીમલાના નામે ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે: મોહમ્મદ સાલેહ ફારુક બક્કર સરફરાજ નૂરુભાઈ લુહાર પોલીસે ઘટનાસ્થળેથી 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:13 pm

એટ્રોસીટી અને દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા:સાબરકાંઠા LCB એ માળીયામીયાણાથી પકડ્યા, હિંમતનગર પોલીસને સોંપ્યા

સાબરકાંઠા LCB એ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી પાડ્યા છે. આ બંનેને હિંમતનગર લાવી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કેસ ત્રણ વર્ષ જૂનો છે. વર્ષ 2023માં હિંમતનગરમાં રવિકુમાર કાનજીભાઈ મોચીની પત્ની ચાંદનીબેન અને રમજાનમીયા કટિયા પ્રેમ સંબંધને કારણે ભાગી ગયા હતા. આ ઘટના બાદ રવિકુમાર મોચીએ સુસાઈડ નોટ લખીને ગત તા. 4 માર્ચ, 2023 ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રવિકુમારની આત્મહત્યા બાદ નોંધાયેલી ફરિયાદના આધારે ચાંદનીબેન અને રમજાનમીયા વિરુદ્ધ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા. LCB ના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે LCB સ્ટાફે રમજાનમીયા ઈબ્રાહીમભાઈ કટિયા (ઉંમર 28) અને ચાંદનીબેન દિનેશભાઈ ખેતશીભાઈ ચાવડા (મોચી) (ઉંમર 25) ને માળીયામીયાણા, નવા રેલવે સ્ટેશન સામે, જી. મોરબી ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ બંને મૂળ મિરજાપર, તા. ભુજ, જી. કચ્છના રહેવાસી છે. આરોપીઓની ધરપકડ બાદ તેમને હિંમતનગર લાવવામાં આવ્યા હતા અને કાયદેસરની વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:10 pm

17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર પોક્સો કોર્ટનો પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે અમદાવાદના આરોપી મનદીપ રસિકભાઈ વાઘેલાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત માનવીય અભિગમ અપનાવી કોર્ટે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યુંઆ કેસની વિગત મુજબ, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા આરોપી મનદીપ વાઘેલાએ સપ્ટેમ્બર 2022માં સેક્ટર-13 ખાતેથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. બાદમાં આરોપી સગીરાને અમદાવાદના ત્રાગડ ખાતે લઈ ગયો હતો. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું11 થી 18 સપ્ટેમ્બર 2022 દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ જજ એસ. વી. શર્મા સમક્ષ ચાલી જતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એસ. વ્યાસે દલીલો કરેલી કે, આરોપીએ માત્ર 17 વર્ષની માસૂમ દીકરી સાથે આવું જઘન્ય કૃત્ય આચરીને ગંભીર ગુનો કર્યો છે. સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમસમાજમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો જ લોકોમાં કાયદાનો ડર પેદા થશે અને સમાજમાં એક સચોટ દાખલો બેસશે. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત માનવીય અભિગમ અપનાવી કોર્ટે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:04 pm

હાઇકોર્ટમાં દુષ્કર્મ પીડિતા યુવતીએ ગર્ભપાતની અરજી કરી:હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ મંગાવ્યો

ગુજરાત હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને એક દુષ્કર્મ પીડિતાને જરૂરી સારવાર આપવાનો આદેશ આપ્યો છે, જેણે ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી ત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. 'હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે'જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું જે સાંભળીને હાઇકોર્ટે અરજદારના વકીલને પૂછપરછ કરી હતી કે, પીડિતા હોસ્પિટલમાં દાખલ થવા માટે કેમ આગ્રહ કરી રહી છે. જો કે ન્યાયાધીશે હોસ્પિટલ સત્તાધીશોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો અરજદારને અન્ય કોઈ સારવારની જરૂર હોય, તો હોસ્પિટલ સત્તાધીશોએ તે બાબતે ધ્યાન આપવું જોઈએ અને તેને જરૂરી સારવાર પૂરી પાડવી જોઈએ. સોલા સિવિલ પાસે યુવતીનો મેડિકલ રીપોર્ટ માંગ્યોહાઈકોર્ટના આ નિર્દેશો ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાયના આદેશ સાથે આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આ અંગેનો અહેવાલ 13 એપ્રિલ સુધીમાં માંગ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:01 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AAPએ ટિકિટ આપી છતાં મહિલા ડોક્ટરે પક્ષને પડતો મૂક્યો, ચૂંટણી લડવાથી ધાર્મિક માલવિયાની પીછેહઠ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:55 pm

પાટણ દ્વારકાધીશ મંદિરે મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે:ચૈત્ર વદ અગિયારસે પ્રભાતફેરી, શૃંગાર પલના અને શોભાયાત્રા યોજાશે

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ ચૈત્ર વદ અગિયારસ, તારીખ 13 એપ્રિલ 2026, સોમવારે ઉજવાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્યોત્સવના દિવસે સવારે 6:00 વાગ્યે શ્રી દ્વારકાધીશ મંદિરેથી પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે શૃંગાર પલના અને રાજભોગ ફુલ મંડળી યોજાશે. સવારે 11:30 કલાકે રાજભોગમાં તિલક કરવામાં આવશે. સાંજે 5:00 કલાકે શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ઉત્થાપન આરતીના દર્શન રાબેતા મુજબ થશે. શયનમાં પીળી ઘટાના દર્શન બાદ સમાજ કીર્તનનું આયોજન કરાશે. આ ઉપરાંત, ચૈત્ર વદ નોમ, તારીખ 11 એપ્રિલ 2026, શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાકે શ્રી વલ્લભ સાખીના પાઠ પણ યોજાશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:55 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નારાજ નેતાઓથી ભાજપ ભયમાં મૂકાતા કાર્યાલયે પોલીસ ગોઠવી, ઢોસાના ખીરાથી મોત કેસમાં ડાયરીએ રહસ્ય ખોલ્યું

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:54 pm

મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા:શોભાસણ બ્રિજ પાસેથી 9.83 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો હતો

મહેસાણા-હિંમતનગર હાઈવે પર શોભાસણ બ્રિજ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જાવેદખાન અહેમદખાન કુરેશીની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા આ ગંભીર ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. 98.33 ગ્રામ ડ્રગ્સ સાથે શખસ ઝડપાયો હતોઆ કેસની વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મહેસાણા-હિંમતનગર રોડ પર શોભાસણ બ્રિજ પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે 98.33 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 9,83,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં આરોપી જાવેદખાન કુરેશી સહિત અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરીજેલવાસ ભોગવી રહેલા આરોપી જાવેદખાન કુરેશીએ નિયમિત જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આરોપી પાસે થી વ્યાપારી માત્રામાં નશાકારક દ્રવ્યો મળી આવ્યા છે.જે સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે અત્યંત જોખમી છે.આવા ગંભીર પ્રકારના ગુનામાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે. સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહેસાણા સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ સરકારી વકીલની દલીલો સાથે સહમત થઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:53 pm

આવતીકાલે છેલ્લો દિવસ, છતાં ભાજપ-કોંગ્રેસની યાદીઓ અજાણ!:અનંત અંબાણીએ ઉજવ્યો 31મો બર્થ ડે, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી!

અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારના નામ લગભગ નક્કી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે...ત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોને ફોન કરી જાણ કરવાનું શરૂ કર્યુ છે...અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારોના નામો લગભગ નક્કી છે પરંતુ હજુ ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા ચર્ચા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પહેલા ભાજપે ગાંધીનગર, પાટણ અને નર્મદા જિલ્લાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે 23 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. તો રાજકોટની 11 તાલુકા પંચાયતનું લિસ્ટ મહામંત્રીની સહી વગર સોશિયલ મીડિયામાં ફરતું થયુંઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી કાઢ્યા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયમાથી ધક્કા મારી કાઢવામાં આવ્યા હતા... જે બાદ ગુસ્સામાં તેમણે કહ્યુ કે પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં વડોદરાની પોર બેઠક પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની પસંદગી થતા નયના પરમારની ટિકિટ કપાઇ છે જેથી તેઓએ બળવો પોકાર્યો છે. તેમના પતિએ અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાહી થયુ. જેમાં એક વ્યક્તિનું મોત થયુ જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલાએ બચાવ કામગીરી હાથ ધરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન બચાવવા 10 ગામના રહીશો મેદાને મહેસાણા મનપાએ અમલમાં મુકેલી ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં 10 ગામના રહીશો મેદાને આવ્યા છે ... આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં જમીનો કપાતમાં જતી રોકવા માટે વિરોધ થઇ રહ્યો છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક ભરૂચ તરફ જઈ રહેલી આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ડ્રાઈવર અને બે મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાંદખેડા બાળકીઓના મોત કેસમાં ડાયરીનો વળાંક અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં માતાની એક ડાયરી મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલછા અને શિવ મંદિરની માનતાનો ઉલ્લેખ મળ્યો છે. તો પૂછપરછ દરમિયાન પિતાનું વારંવાર બીપી હાઈ થઈ રહ્યું છે. જોકે પોલીસ તપાસ ચાલુ છે પરંતુ વધુ સ્પષ્ટતા એફએસએલ અને વિસેરા રિપોર્ટ બાદ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી ધિંગાણુ સુરતના અડાજણમાં બે જૂથ વચ્ચે પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી મારામારી થઈ. ભીડભાડવાળા રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડતા નાસભાગ મચી ગઈ પોલીસ તપાસ શરુ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનંત અંબાણીના બર્થ ડેનુ શાનદાર સેલિબ્રેશન અનંત અંબાણીએ પોતાનો 31મો જન્મદિવસ ફિલ્મ સ્ટાર્સ, પરિવારના લોકો અને મિત્રો વચ્ચે જામનગરના વનતારામાં ઉજવ્યો.. ગ્રાન્ડ પાર્ટી પહેલા અનંતે દાન-પુણ્ય કરીને ઉજવણીની શરૂઆત કરી. ફેન્સ અને સેલિબ્રિટીઓએ અનંતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:50 pm

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: એક જ દિવસમાં 457 ફોર્મ:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારી પત્રો રજૂ

સાબરકાંઠા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. શુક્રવારે એક જ દિવસમાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે કુલ 457 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ, શનિવાર છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 એપ્રિલથી ઉમેદવારી પત્રોનું વિતરણ અને સ્વીકારવાનું શરૂ થયું હતું. શુક્રવારે ભરાયેલા કુલ 457 ઉમેદવારી પત્રોમાંથી, આઠ તાલુકા પંચાયતો માટે 307, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 67 અને હિંમતનગર, ઇડર, વડાલી તથા પ્રાંતિજ નગરપાલિકા (એક વોર્ડની પેટાચૂંટણી સહિત) માટે 49 ઉમેદવારી પત્રો ભરાયા હતા. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, શુક્રવારે હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 25, ખેડબ્રહ્મામાં 57, વિજયનગરમાં 22, ઇડરમાં 38, તલોદમાં 19, પ્રાંતિજમાં 23, વડાલીમાં 48 અને પોશીના તાલુકાની 20 બેઠકો માટે 75 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ, એક જ દિવસમાં તાલુકા પંચાયતો માટે કુલ 307 ફોર્મ રજૂ થયા.જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે શુક્રવારે 67 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં હિંમતનગર તાલુકાની 7 બેઠકો માટે 8, ખેડબ્રહ્મા તાલુકાની 4 બેઠકો માટે 11, વિજયનગર તાલુકાની 3 બેઠકો માટે 4, ઇડરની 6 બેઠકો માટે 12, પ્રાંતિજ તાલુકાની 4 બેઠકો માટે 6, વડાલીની 2 બેઠકો માટે 6 અને પોશીનાની 4 બેઠકો માટે 20 ઉમેદવારી પત્રોનો સમાવેશ થાય છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં ભરાયેલા કુલ ઉમેદવારી પત્રોના આંકડા મુજબ, જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 83 ઉમેદવારોએ 84 ફોર્મ ભર્યા છે. નગરપાલિકાઓમાં, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 17, ઇડરના 7 વોર્ડની 28 બેઠકો માટે 14 અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 23 ઉમેદવારી પત્રો ભરાયા છે. આમ, પાંચ દિવસમાં નગરપાલિકાઓમાં કુલ 55 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે શનિવારે વધુ એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:47 pm

અમદાવાદમાં ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે:કઠવાડા ખાતે 20થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય આયોજન કરાયું

અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક રાજેન્દ્ર રાઠી તેમજ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450-500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્યલુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત, ગૌ-આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે. ત્રણ દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે, ત્યારબાદ સુરભિ યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગો વિજ્ઞાન ગોષ્ઠિના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ‘ગોદાન મૂવી’ બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે. છેલ્લે 22 એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી (મુખ્ય આયોજક - કઠવાડા/નરોડા), જયરામભાઈ સેંધાભાઇ રબારી (થલતેજ), દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ (પોર), વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ (મોકાપુરા), સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ (શેડયા), ભરતભાઈ સાંકાભાઈ દેસાઈ (કુહા), ટીનાભાઈ બળદેવભાઈ દેસાઈ (એદરાડ), ગોવિંદભાઈ કનુભાઈ દેસાઈ (દેહગામ), હિરેનભાઈ સુખદેવભાઈ દેસાઈ (નાની કડી), વિહાભાઈ ખોડાભાઈ દેસાઈ (છારોડી), દિનેશભાઈ હરેશભાઈ દેસાઈ (અડીસણાનાપરા), જયેશભાઈ ભીખાભાઈ દેસાઈ (ચરીયાળા), વિષ્ણુભાઈ ભલાભાઈ દેસાઈ (વહેલાલ), લાલાભાઈ હીરાભાઈ દેસાઈ (કઠવાડા) સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:45 pm

કોંગ્રેસ ધારાસભ્યના ભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું:મહીસાગરની વિરાણીયા સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિરાણીયા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ભારતસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમણે કાર્યકરોના સમર્થન વચ્ચે પ્રાંત અધિકારીને ફોર્મ સુપરત કર્યું હતું. આ ઉમેદવારી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભારતસિંહ ચૌહાણ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નાના ભાઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિરાણીયાથી લુણાવાડા સુધી ડીજે અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય માહોલ વચ્ચે ફોર્મ ભરવામાં પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે. હાલ કોંગ્રેસે વિરાણીયા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યો છે, જ્યારે ભાજપ દ્વારા હજુ યાદી જાહેર કરવામાં આવી નથી. ભારતસિંહ ચૌહાણે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:38 pm

વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:76માંથી ફક્ત 14 ઉમેદવારોને જ રિપિટ કરાયા, જુઓ કોણ ફાવ્યું અને કોણ કપાયું?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવરોની યાદી જાહેર કરી છે. કુલ 19 વોર્ડ પર 76 ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 76માંથી માત્ર 14 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે, વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે, હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. આગામી ચૂંટણીમાં આટલા રીપિટ

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:37 pm

જીગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:ઇન્દ્રસિંહ પરમારે શુકલતીર્થ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે, 11મી એપ્રિલે છેલ્લો દિવસ છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તવરાના ઇન્દ્રસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષમાંથી શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટ, જેઓ અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો સૂચવે છે. બ્રહ્મભટ્ટે પોતાના રાજીનામા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન-સન્માન ન મળતા અસંતોષ ઊભો થયો છે, અને સંગઠનના નિર્ણયોમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની વાતને અવગણવામાં આવે છે. જીગ્નેશ બ્રહ્મભટ્ટને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ જ દિવસે, શુકલતીર્થ-28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે તવરા, શુકલતીર્થ, નિકોરા અને ઝનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવાના આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. ઇન્દ્રસિંહ પરમારની શુકલતીર્થ બેઠક પરથી એન્ટ્રી સાથે હવે આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:36 pm

ગોધરા નગરપાલિકામાં ભાજપનું 'નો-રિપીટ' શસ્ત્ર:7 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત, 23 નવા ચહેરાને તક માત્ર 3 ઉમેદવાર રિપીટ

ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગોધરા નગરપાલિકાના 7 વોર્ડ માટે 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પક્ષે આ વખતે આક્રમક વ્યૂહરચના અપનાવતા મોટા પાયે 'નો-રિપીટ' થિયરી લાગુ કરી છે, જેના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાયા છે. એન્ટિ-ઈન્કમ્બન્સી ખાળવા નવો પ્રયોગસત્તા વિરોધી લહેર (એન્ટિ-ઈન્કમ્બન્સી) ને ખાળવા અને મતદારોમાં નવો વિશ્વાસ જગાડવા માટે ભાજપે નવા ચહેરાઓ પર વધુ ભરોસો મૂક્યો છે. જાહેર કરાયેલા 26 ઉમેદવારોમાંથી 23 બેઠકો પર તદ્દન નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ભાજપે મોટો ઉલટફેર કર્યો છે. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. માત્ર 3 ઉમેદવારોને જ મળી ફરી તકઆ યાદીમાં મોટાભાગના અનુભવી નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સમગ્ર યાદીમાં માત્ર 3 પૂર્વ સભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે. ફરીથી વિશ્વાસ સંપાદન કરનાર ઉમેદવારોમાં 3 નામોનો સમાવેશ થાય છે: વોર્ડ 10: ગૌરીબેન જોશી વોર્ડ 03: વર્ષાબેન ઠાકર વોર્ડ 04: દીપેશ ઠાકોર ભાજપની આ રણનીતિ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો નવા ઉમેદવારોના નામ જાહેર થતા કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:34 pm

ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, 5 દિગ્ગજ પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા:જનતાની સેવાની દુહાઈ આપી લક્ષ્મણ રાજગોર અને મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો

દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં મસમોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં જૂના જોગીઓને કાપીને તમામ વોર્ડમાં નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની જે 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી છે, તેને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ હવે ખુલ્લી બળવાખોરીના સ્વરૂપમાં સામે આવ્યો છે, જેમાં ભાજપના 5 જેટલા પ્રભાવશાળી પૂર્વ નગરસેવકોએ પક્ષ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની હાજરીમાં આ તમામ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા શહેરના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષપલટાની આ ઘટનાએ ભાજપના મજબૂત ગઢ ગણાતા દાહોદમાં સત્તાના સમીકરણોને વેરવિખેર કરી દીધા છે. દિગ્ગજ નેતાઓના પક્ષપલટાથી ભાજપમાં સોપો પડી ગયો ભાજપ માટે સૌથી મોટો ઝટકો પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરનું રાજીનામું માનવામાં આવે છે. લક્ષ્મણ રાજગોર દાહોદ ભાજપનો એક મજબૂત સ્તંભ ગણાતા હતા, પરંતુ ટિકિટ વિતરણમાં તેમની અવગણના થતા તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે પૂર્વ નગરસેવક અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાડાવાલા, અશ્વતબેન દલાલ અને કિંજલબેન પરમારે પણ ભાજપને અલવિદા કહી દીધું છે. આ પાંચેય નેતાઓ પોતપોતાના વિસ્તારમાં લોકપ્રિયતા અને જનસમર્થન ધરાવે છે. ગતરોજ આ નેતાઓએ ભાજપના સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપ છાવણીમાં મૌન છવાઈ ગયું છે. લક્ષ્મણ રાજગોરનો આકરો પ્રહાર: ભાજપમાં લોકશાહી ખતમ થઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે ભાજપના સ્થાનિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં અત્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા 4 થી 5 લોકો જ આખી નગરપાલિકાનો વહીવટ ચલાવે છે. પાયાના કાર્યકરો કે જેણે વર્ષો સુધી પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, તેમની કોઈ કિંમત રહી નથી. વધુમાં તેમણે ધડાકો કર્યો હતો કે તેમને પક્ષ ન છોડવા માટે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જનતાની સેવા કરવા માટે અને પોતાના સ્વાભિમાન માટે તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો મક્કમ નિર્ણય લીધો છે. જનતાની લાગણી અને સેવાનો ઉદ્દેશ્ય સર્વોપરીકોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ નગરસેવકોએ એકસૂરે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ જનતાની સેવા કરવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી દાહોદની જનતા જે નેતૃત્વ જોઈ રહી છે, તેમાં પરિવર્તન અનિવાર્ય બન્યું છે. ભાજપમાં પાયાના કાર્યકરોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. માસુમાબેન ગાંગડીએ જણાવ્યું હતું કે, અમે પક્ષ ભલે બદલ્યો હોય, પણ અમારી કાર્યપદ્ધતિ અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ એ જ રહેશે. આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના મતદારો અને સમર્થકો પણ આ નિર્ણયથી ખુશ છે અને તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસની માસ્ટરસ્ટ્રોક રણનીતિ: ઉમેદવારો પાસે કરાવ્યા સોગંદનામાદાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ ભાજપના પાંચેય પૂર્વ નગરસેવકોને આવકારતા ભાજપના 'ભ્રષ્ટ શાસન' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શહેરમાં રસ્તા, પીવાના પાણી અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રસ્ત છે. આ વખતે કોંગ્રેસે એક નવી અને કડક રણનીતિ અપનાવી છે. પક્ષમાં જોડાયેલા તમામ પાંચેય પૂર્વ કાઉન્સિલરો પાસે કાયદેસરનું સોગંદનામું કરાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ તેઓ કોઈ પણ લોભ-લાલચમાં આવીને કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જશે નહીં. આ પગલાથી કોંગ્રેસે મતદારોને એ ખાતરી આપી છે કે તેમનો મત એળે જશે નહીં. 'નો રિપીટ થિયરી' ભાજપ માટે આત્મઘાતી સાબિત થશે?ભાજપે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) રોકવા માટે જે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી છે, તે અત્યારે ઉંધી પડતી જણાય છે. વર્ષોથી જનતા વચ્ચે રહેતા અને પક્ષનું કામ કરતા નેતાઓને અચાનક કાપી નાખવાથી કેડર લેવલે ભારે અસંતોષ છે. ભાજપના જે નેતાઓ કોંગ્રેસમાં ગયા છે, તેઓ તો દેખીતી રીતે પક્ષને નુકસાન પહોંચાડશે જ, પરંતુ જેઓ હજુ ભાજપમાં રહી ગયા છે અને ટિકિટથી વંચિત છે, તેઓ પણ અંદરખાને 'ભીતરઘાત' કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભાજપ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના તમામ પ્રયાસો અત્યાર સુધી તો નિષ્ફળ રહ્યા છે.દાહોદમાં હવે ત્રિપાંખિયો જંગ અને નવા રાજકીય સમીકરણોદાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. હવે ભાજપના પાંચ મજબૂત ચહેરાઓ કોંગ્રેસમાં જોડાતા જંગ વધુ રોમાંચક બન્યો છે. આ પક્ષપલટાથી અમુક વોર્ડમાં ભાજપના સમીકરણો સાવ બદલાઈ ગયા છે. ભાજપ હવે 'નવા ચહેરા' અને 'મોદી કાર્ડ' પર ભરોસો રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ 'અનુભવી ચહેરા' અને 'સ્થાનિક રોષ'નો ફાયદો ઉઠાવવા માંગે છે.ચૂંટણીના પરિણામો પર સૌની મીટદાહોદની જનતા આ પક્ષપલટાને કઈ રીતે લે છે તે તો આવનારો સમય જ બતાવશે. એકતરફ ભાજપનું સંગઠન માળખું છે અને બીજી તરફ કોંગ્રેસમાં જોડાયેલા અનુભવી લોકપ્રતિનિધિઓ છે. શું જનતા વર્ષોથી જોડાયેલા આ નેતાઓને પક્ષ બદલ્યા પછી પણ સ્વીકારશે? કે પછી ભાજપના કમળ પર ફરી વિશ્વાસ મૂકશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીના પરિણામો સાથે જ મળશે. હાલ તો એટલું ચોક્કસ છે કે 5 નગરસેવકોના રાજીનામાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:27 pm

મોડાસાની દધાલિયા બેઠક પર આયાતી ઉમેદવારનો વિરોધ:કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા; ઉમેદવાર ન બદલાય તો પરિણામ પર અસરની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગીને લઈને કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે. મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર આયાતી ઉમેદવારના આક્ષેપ સાથે કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ગત રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાં જ મોડાસાની દધાલિયા તાલુકા પંચાયત બેઠકના કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટપણે બહાર આવી હતી. આજે દધાલિયાના ગ્રામજનો અને કાર્યકરો મોડાસા ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' પહોંચ્યા હતા. તેમણે આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આયાતી ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે, તો તેના પરિણામ માટે ભાજપ સુપ્રીમો જવાબદાર રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:14 pm

પાટડીમાં જોવા મળ્યા માનવતા અને પશુપ્રેમના દ્રશ્યો:વ્હીલચેર પર પૌત્રી સાથે બેસી દિવ્યાંગ દાદાએ વાનરને પ્રેમથી બિસ્કિટ ખવડાવ્યા; જીવદયાના સિંચ્યા ઉમદા સંસ્કાર

ઝાલાવાડના પાટડી પંથકમાં માનવતા અને પશુ પ્રેમનો એક અત્યંત હૃદયસ્પર્શી અને અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વ્હીલચેરની મર્યાદા વચ્ચે પણ એક દિવ્યાંગ નિવૃત્ત દાદા પોતાની પૌત્રી સાથે મળીને એક વાનરને અત્યંત સ્નેહપૂર્વક બિસ્કિટ ખવડાવતા નજરે પડ્યા હતા, જે દ્રશ્ય નિહાળી સૌ કોઈના હૃદય ભરાઈ આવ્યા હતા. આ કરુણાભર્યા દ્રશ્યના કેન્દ્રમાં મહેન્દ્રભાઈ કંસારા નામના વૃદ્ધ દાદા હતા, જેઓ પોતાની શારીરિક અશક્તતાને કારણે વ્હીલચેર પર બેઠા હતા. તેમની સાથે તેમની લાડકવાઈ પૌત્રી મિષ્ટી પણ જોડાઈ હતી. આ બંને દાદા-પૌત્રીએ સાથે મળીને કુદરતના અબોલ જીવ એવા વાનર પ્રત્યે આત્મીયતા દર્શાવી બિસ્કિટ અર્પણ કર્યા હતા. ખૂબ જ અદભૂત વાત તો એ હતી કે, સામાન્ય રીતે ચંચળ ગણાતો વાનર પણ મહેન્દ્રભાઈ અને મિષ્ટીના હાથમાંથી અત્યંત શાંતિ અને નિર્ભયતાથી બિસ્કિટ આરોગી રહ્યો હતો. આ દ્રશ્ય માનવ અને પશુ વચ્ચેના પરસ્પર વિશ્વાસ, અસીમ સ્નેહ અને નિઃસ્વાર્થ લાગણીનો એક વિરલ દાખલો પ્રસ્થાપિત કરે છે. આ ઘટના માત્ર પશુને ભોજન કરાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તેના દ્વારા દાદા પોતાની પૌત્રીને કુમળી વયે જ જીવદયા અને પરોપકારના પાયાના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. શારીરિક અશક્તતા હોવા છતાં, અન્ય જીવો પ્રત્યેની તેમની આ કરુણા અને સંવેદના સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:09 pm

પાટણ નગરપાલિકામાં ભાજપની 'નો રિપીટ' થિયરી લાગુ:તમામ 40 બેઠકો પર નવા ચહેરા, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ દિગ્ગજોના પત્તા કપાયા

પાટણ નગરપાલિકાના વહીવટમાં પાછલા અઢી વર્ષ દરમિયાન સર્જાયેલી નિષ્ફળતા અને આંતરિક જૂથબંધીની ગંભીર નોંધ લઈને ભાજપ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી તમામ 40 બેઠકો પર નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના તમામ સિનિયર નેતાઓને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા છે. વિકાસમાં નિષ્ફળતા અને જૂથબંધી નડીપાછલા 5 વર્ષના શાસનમાં, ખાસ કરીને અંતિમ અઢી વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ગંભીર આંતરિક ડખા જોવા મળ્યા હતા. પ્રમુખ અને કારોબારી સભ્યો વચ્ચેના મનભેદને કારણે અનેક વિકાસકામો અટવાયા હતા. ગાંધીનગર સુધી પહોંચેલી આ જૂથબંધીને કારણે પક્ષની છબી ખરડાઈ હોવાનું માનીને સંગઠને તમામ જૂના ચહેરાઓને પડતા મૂકવાનો કડક નિર્ણય લીધો છે. આ દિગ્ગજોના પત્તા કપાયાભાજપની સત્તાવાર યાદી મુજબ, ચૂંટણી ચિત્રમાંથી બહાર થયેલામાં જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે: પૂર્વ પ્રમુખ: હિરલ પરમાર, સ્મિતા પટેલ પૂર્વ ઉપપ્રમુખ: હિના શાહ પૂર્વ કારોબારી ચેરમેન: શૈલેષ પટેલ, મુકેશ પટેલ અન્ય અગ્રણીઓ: જયેશ પટેલ (કેસી પટેલના ભાઈ), મહેશ પટેલ, અરવિંદ પટેલ, દેવચંદ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, હરેશ મોદી અને ગીરીશ પટેલ. પ્રમુખ પદ માટે લોબિંગ કરનાર બિપીન પરમારને પણ ટિકિટ આપવામાં આવી નથી. વોર્ડ નંબર 7 પર સસ્પેન્સ યથાવતભાજપે બાકીના વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ વોર્ડ નંબર 7 ના નામો હજુ અનામત રાખ્યા છે. આ વોર્ડમાં જૂના સભ્યોમાંથી કોઈને રિપીટ કરવામાં આવે છે કે કેમ તે અંગે અટકળો તેજ બની છે. ખાસ કરીને શિસ્તબદ્ધ ગણાતા રાજેન્દ્ર હિરવાણીયાના નામ પર સૌની મીટ મંડાણી છે. કોંગ્રેસના સિનિયરો vs ભાજપના જુનિયરોભાજપે તમામ નવા ચહેરા ઉતારતા હવે જંગ રસપ્રદ બનશે. જો કોંગ્રેસ પોતાના સિનિયર અને અનુભવી નેતાઓને મેદાનમાં ઉતારશે, તો પાટણના ચૂંટણી મેદાનમાં 'અનુભવ વિરુદ્ધ ઉત્સાહ' જેવો માહોલ જોવા મળી શકે છે. નવા ઉમેદવારો મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહે છે તે પરિણામો જ સ્પષ્ટ કરશે. આંતરિક બળવાની આશંકા?ટિકિટ કપાવાને કારણે સિનિયર નેતાઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય થઈ જાય અથવા અંદરખાને લોબિંગ કરીને નવા ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. બીજી તરફ, પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે પત્તું કપાય તે પહેલા જ સામેથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:58 pm

ચોટીલામાં ખનિજ માફિયાઓ પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે કોલસાનો કુવો ઝડપ્યો

ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખનિજ માફિયાઓ પર કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં ગેરકાયદેસર કોલસાનો કુવો ચલાવવામાં આવી રહ્યો હતો, જેને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે 2:10 વાગ્યાના અરસામાં છટકું ગોઠવીને ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન કુલ 51.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક લોડર મશીન, એક ડમ્પર અને 40 મેટ્રિક ટન કોલસો શામેલ છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં અરવિંદભાઈ રમેશભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ), મુકેશભાઈ રાયસંગભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ) અને ઘુઘાભાઈ ખાંભલા (રહે. મોરસલ, તા. સાયલા) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017” હેઠળ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સ્થાનિક સ્તરે બેદરકારી દાખવવા બદલ ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:58 pm

ચહલે દારૂ છોડી દીધો?:રોહિતે મેદાનમાં જ ભજ્જીને ઉઠાવ્યો, દિગ્વેશે દગાબાજી કરી, ગોએન્કાએ વિનરને વ્હાલ કર્યું

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:55 pm

જૂનાગઢ જિ.પં.ના પૂર્વ ચેરમેન દંપતીએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાશે:ટિકિટ વિતરણ અને આંતરિક જૂથવાદને લઈ સંગઠન સામે ગંભીર આક્ષેપો, ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (AAP) તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વિનોદ બુસા અને જોલીત બુસા આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી સાસણ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે જેનાથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અરજણભાઈ દિવરાણીયાના ભાજપ પર ગંભીર આક્ષેપો​પૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો કર્યો​તેમણે પક્ષની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, 2024ના જિલ્લા પંચાયતના બજેટ બોર્ડ વખતે પક્ષના જ કેટલાક નેતાઓએ તેમને હાજર ન રહેવા સૂચના આપી હતી. ભાજપ પાસે 30 માંથી 25 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, માત્ર 11 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યોનો ટેકો લઈને બજેટ પસાર કરવાની જે નીતિ અપનાવાઈ, તેનાથી તેઓ વ્યથિત છે. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેનને મેદાનમાં ઉતાર્યા​રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવારોની યાદી​જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે 'કમલમ' (ગાંધીનગર) થી ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે, જે મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યની રણનીતિ​અર્જણભાઈ દિવરાણીયાએ ઉમેર્યું કે, તેઓ માત્ર રાજકારણ માટે નહીં પણ જનસેવા માટે મેદાનમાં છે. 2001થી 'દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરીને તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. હવે જ્યારે સાકરબેન 'આપ' માંથી ધંધુસર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને પંથકની જનતાના આશીર્વાદ મળશે તેઓ અતૂટ વિશ્વાસ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:54 pm

સાણંદ-ધોલેરામાં બનશે ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક:12 હજાર રોજગારની તક, સેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની દિશામાં મોટું પગલું; EV-રોબોટિક્સ સહિતના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન

રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને હવે સાણંદ-ધોલેરામાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણનું લક્ષ્યગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ MOU સાઇન કરવામાં આવ્યો હતો. આ અવસરે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કરાર હેઠળ સાણંદ-ધોલેરા વિસ્તારમાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવશે, જ્યાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન (EV), રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને તાઈવાનની કંપનીઓ દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ (FDI)નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશેઆ સાથે આગામી પાંચ વર્ષમાં આશરે 12,000 લોકોને સીધી રોજગારી મળવાની શક્યતા છે. રાજ્યમાં હાલ 1.24 લાખ કરોડથી વધુના સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે, ત્યારે આ નવી પહેલ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં આધુનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસશે, જેનાથી રોકાણકારોને આકર્ષણ વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:50 pm

મણીયારી ઉચાપત કેસમાં મંત્રીને સજા:16 વર્ષ જૂના કેસમાં કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો

પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને સુધારાની તક આપવા માટે પ્રોબેશનનો લાભ આપવાનો આદેશ કર્યો છે. આ કેસ વર્ષ 2009-2010 દરમિયાન થયેલી કુલ રૂ. 2,50,871.42 (રૂ. 2,45,670.42 કાયમી અને રૂ. 5,201 હંગામી) ની ઉચાપત સંબંધિત છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે આરોપી જીવણલાલ પટેલ (ઉંમર 45)ને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ પણ કરાયો હતો. જોકે, કોર્ટે આરોપીને જેલમાં મોકલવાને બદલે ત્રણ મહિનાના સમયગાળા માટે રૂ. 7,500ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીએ ઉચાપત કરેલી રકમ મંડળીને પરત કરી દીધી છે. ઉપરાંત, આરોપીની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને પ્રોબેશનનો લાભ આપવાથી કાયદાનો હેતુ જળવાશે. કેસની જૂનાઈ અને સજાની જોગવાઈઓ જોતાં, આરોપી પ્રોબેશનનો લાભ મેળવવા પાત્ર છે. પાટણ કોર્ટે આરોપી માટે કેટલીક શરતો પણ લાદી છે. જેમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન સુલેહ-શાંતિ જાળવવી, કોઈપણ ગેરકાનૂની કૃત્ય ન કરવું, રહેઠાણનું સરનામું જાહેર કરવું અને કોર્ટની પરવાનગી વિના તેમાં ફેરફાર ન કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કેસમાં સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો રજૂ કરી હતી. કેસની વિગતો અનુસાર, પાટણ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના અધિકારી જયંતિભાઈ કોદરભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મણીયારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ પટેલે 1 ઓક્ટોબર 2009 થી 31 માર્ચ 2010 દરમિયાન મંડળીના ગ્રાહકોના નાણાંની ઉચાપત કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદ 2010માં ચાણસ્મા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 408 અને 477(એ) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 16 વર્ષ બાદ અને કોર્ટમાં 14 વર્ષ, 2 માસ અને 15 દિવસની લાંબી સુનાવણી પછી આ કેસનો નિકાલ આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:49 pm

AIIMSના પાંચ વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં અરજી:આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધાયો હતો, વધુ સુનાવણી 22 જૂનના રોજ થશે

રાજકોટની AIIMSના પાંચ મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને એક અંતિમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા, તેને દુષ્પ્રેરણ આપવાના આરોપો લાગેલા છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ છોડી હતી. ગયા મહિને પાંચ MBBS વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ક્લાસમેટ એવા રાજસ્થાનના રતન કુમાર મેઘવાલે 14 માર્ચે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ BNS અને એટ્રોસિટી એક્ટ અધિનિયમ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાયો હતો. મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતીઆરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી રજૂઆત કરાઈ હતી કે, મેઘવાલે ત્રણ સુસાઈડ નોટ લખી હતી. જેમાંથી બે નોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંસ્થાના ફેકલ્ટી સભ્યોને મોકલવામાં આવી હતી, જ્યારે ત્રીજી નોટ રેલ્વે ટ્રેક પાસે તેના મૃતદેહ નજીક પડેલી બેગમાંથી મળી આવી હતી. આરોપી વિદ્યાર્થીઓએ તેની સાથે એક મહિનાથી વધુ સમયથી વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે, મેઘવાલે 27 જાન્યુઆરીએ તેની પ્રથમ સુસાઈડ નોટ શેર કરી હતી અને બીજા દિવસે તે રાજકોટમાં રેલ્વે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવીમૃતક વિદ્યાર્થીની મેડિકલ ટ્રીટમેન્ટનો ઉલ્લેખ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, તે સ્કિઝોફ્રેનિયાથી પીડાતો હતો અને તેની એક સુસાઈડ નોટમાં એક છોકરીના નામનો પણ ઉલ્લેખ હતો. પોલીસ સમક્ષ મેઘવાલના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે એક મહિનાથી આ પાંચ વિદ્યાર્થીઓ સાથે વાત કરી ન હતી. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, FIRમાં પ્રથમ સુસાઈડ નોટનો ઉલ્લેખ છે, જેમાં મૃતક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, એક દિવસ પહેલા આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર મેઘવાલના પિતાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 22 જૂન પર રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:46 pm

પરીક્ષા આપવા જઈ રહેલા 9 વર્ષીય માસૂમ પર ડોગનો હુમલો:લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો, પરીક્ષા પણ ન આપી શક્યો

ઉન તિરુપતિ નગરમાં રહેતો 9 વર્ષીય વિદ્યાર્થી અયાન અંસારી સવારે ઘરેથી ઉત્સાહ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને અયાનના પગના ભાગે ગંભીર રીતે બચકું ભરી લેતા તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. આ કમનસીબ ઘટનાને કારણે માસૂમ અયાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો અને પોતે જેના માટે તૈયારી કરી હતી તે પરીક્ષા આપી શક્યો નહોતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં અયાનને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકના પગમાં ઊંડા જખમ થયા હોવાથી તબીબો દ્વારા તેને તાત્કાલિક ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવીઅયાનના પિતા મહમદ મુબલી અંસારીએ જણાવ્યું હતું કે, તેમને શાળાના શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દીકરાને ઇજા પહોંચતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ નગરમાં રખડતા શ્વાનોનો ભારે આતંકસચિનના ઓમ પાટિયા અને તિરુપતિ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં રખડતા શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે નાના બાળકોને એકલા બહાર મોકલતા પણ વાલીઓ ડરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ અનેકવાર શ્વાનોએ રાહદારીઓ પર હુમલા કર્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અયાન પર થયેલા હુમલા બાદ વિસ્તારના લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પિતાની હૈયા વરાળ: 'તંત્ર થોડું ધ્યાન આપે'અયાનના પિતા મહમદ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, મારો પુત્ર માત્ર 9 વર્ષનો છે. આજે તેની પરીક્ષા હતી અને તે મહેનત કરીને ઘરેથી નીકળ્યો હતો, પણ આ રખડતા કૂતરાને કારણે તે આજે પેપર આપી શક્યો નથી. હું તંત્રને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અમારા વિસ્તારમાં થોડું ધ્યાન આપે અને આ શ્વાનોના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવવા માટે જરૂરી પગલાં ભરે, જેથી અન્ય કોઈ બાળકનો અભ્યાસ કે જીવ જોખમમાં ન મુકાય.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:43 pm

વેરાવળ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીમાં સિક્યોરિટી કેબીન સળગતાં અફરાતફરી:કંપનીની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીમાં આજે બપોરે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. કંપનીના મટીરીયલ ગેટ પાસે આવેલી સિક્યોરિટી કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, કંપનીની આંતરિક ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે બપોરે 4:00 વાગ્યાના સુમારે મટીરીયલ ગેટ પર આવેલી FRP શીટની બનેલી સિક્યોરિટી કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીની આંતરિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્વરિત કામગીરીથી નુકસાન અટક્યુંફાયર ટીમે સતર્કતા દાખવી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવી લીધો હતો. સિક્યોરિટી કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ ફાયર ફાયટરોની કામગીરીને કારણે આગ અન્ય ઔદ્યોગિક એકમો કે સંવેદનશીલ વિસ્તારો સુધી પ્રસરી શકી ન હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને અટકેલું કામકાજ પુનઃ શરૂ કરાયું હતું. તપાસના ચક્રો ગતિમાનપ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા અતિશય ગરમી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વહીવટી તંત્ર અને કંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:36 pm

વઢવાણમાં 2 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અપાઈ:રાજકોટ નાગરિક બેંક દ્વારા 'પરીક્ષા પર્વ' પહેલ

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આશરે 2000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલથી સુરેન્દ્રનગર જિલ્લામાં 'પરીક્ષા પર્વ' એક અનોખું 'પ્રકાશ પર્વ' બની ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખા દ્વારા પરીક્ષાના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન આ સરાહનીય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શાખા વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને શાખા અધિકારી શ્રી વિક્રમસિંહ ડોડીયાના આયોજનથી આ પહેલ સફળ બની. આ પહેલ અંતર્ગત વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગર વિસ્તારની વિવિધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટનું વિતરણ કરાયું. આ કીટમાં વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી સામગ્રી આપવામાં આવી હતી, જે તેમને પરીક્ષા દરમિયાન મદદરૂપ થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાને તણાવમુક્ત તથા ઉત્સવમય બનાવવાનો છે. સ્થાનિક સ્તરે આ પહેલને ખૂબ સરાહના મળી રહી છે અને તેને શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અસવાર દશરથસિંહે રાજકોટ નાગરિક બેંક દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:29 pm

ગઢડામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયતની 10 બેઠકો માટે ઉમેદવારી, સત્તાવાર યાદી બાકી

ગઢડામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારોએ આજે ઢોલ-નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કુલ ત્રણ જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે માંડવધાર, ગુંદાળા અને વાવડી જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત, સાત તાલુકા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા હજી સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, ટેલિફોનિક સૂચનાઓના આધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. ગઢડા તાલુકામાં કુલ ૭ જિલ્લા પંચાયત અને ૨૨ તાલુકા પંચાયત બેઠકો આવેલી છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભીએ જણાવ્યું હતું કે, બાકીના ઉમેદવારો આવતીકાલે પોતાના ફોર્મ ભરશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:28 pm

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર કર્યા, વોર્ડ-3 અને વોર્ડ-6માં મુસ્લિમ પુરુષ-મહિલા ઉમેદવારને ટિકિટ આપી

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 13 વોર્ડમાં 52 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. વોર્ડ-3 અને વોર્ડ-6માં ભાજપે મુસ્લિમ પુરુષ અને મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. વોર્ડ-3માં સમસુઉદ્દીન નુરૂદ્દીન ચૌધરી અને વોર્ડ-6માં તસ્લીમ સુલતાન બાબુલને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા વાપીમાં પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન કરવામાં આવ્યાં બાદ આ સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:26 pm

સુરેન્દ્રનગર ભાજપ દ્વારા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ:ચૂંટણીલક્ષી આયોજન અને માર્ગદર્શન અપાયું

આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો સાથે એક આયોજનબદ્ધ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને ઉમેદવારો વચ્ચે ચૂંટણીલક્ષી તૈયારીઓ, પ્રચારની દિશા, બૂથ સ્તરની કામગીરી અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યમાં સંકલન અને સમયબદ્ધ આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ બેઠક ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, આગેવાન રાકેશભાઈ ખાંડલા, વાય.બી. રાણા, ભાસ્કરભાઈ દવે, દીપસંગ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવા માટે મહાનગરપાલિકાના ઉમેદવારોને સૂચનો આપવામાં આવ્યા. ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાનું પાલન, મતદારો સાથે સંવાદ જાળવવો અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ અપાઈ. બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓ ભાજપમાં જોડાયા હોવાની માહિતી પણ આપવામાં આવી, જેના કારણે સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં હલચલ જોવા મળી રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્તરે સુમેળ સાધી આયોજનબદ્ધ રીતે ચૂંટણી કામગીરી આગળ વધારવાનો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:13 pm

બોટાદમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો:શ્રી વરિયાદેવી મંદિરે સર્વરોગ નિદાન અને સારવાર અપાઈ

બોટાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ હોમિયોપેથીક દિવસ અને પોષણ પખવાડિયા નિમિત્તે બોટાદના શ્રી વરિયાદેવી મંદિર, ચકલા ગેટ ખાતે સર્વરોગ હોમિયોપેથીક-આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ, સામાજિક અગ્રણી મયૂરસિંહ જશુભા ભાટીના સહયોગથી યોજાયો હતો.કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય હોમિયોપેથીક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. આ પ્રસંગે પોષણયુક્ત આહાર, હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિ તેમજ તેની ઉપયોગીતા વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હોમિયોપેથી પ્રદર્શનનો લાભ લીધો હતો. કેમ્પમાં પોષણ પત્રિકા, યોગ બુક અને કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને વરિયાદેવી મંદિર ટેમ્પલ બોર્ડના તમામ ટ્રસ્ટીઓ, પંકજભાઈ ઝાંઝરુકિયા, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા, દિલીપભાઈ ભલગામીયા, પ્રકાશભાઈ ભીમાણી અને અન્ય અગ્રણી મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં કુલ 715 વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાં હોમિયોપેથીક-આયુર્વેદ સારવારના 290 લાભાર્થીઓ, યોગના 75 લાભાર્થીઓ, પોષણ માર્ગદર્શનના 120 લાભાર્થીઓ અને ચાર્ટ પ્રદર્શનના 230 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:10 pm

ધાર્મિક માલવીયાની 'સરપ્રાઈઝ' એક્ઝિટ:ફોર્મ ભર્યું છતાં ચૂંટણી નહીં લડે, ભાજપના આ માસ્ટર પ્લાનથી પાટીદાર મત વિસ્તારોમાં વિપક્ષો ક્લીન બોલ્ડ થશે?

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે પાટીદાર બહુલ વિસ્તારોના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. પાટીદાર સમાજના લોકપ્રિય યુવા નેતા અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત દાવેદાર ગણાતા ધાર્મિક માલવીયાએ આ વખતે ચૂંટણી ન લડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી ફોર્મ ભરીને શક્તિપ્રદર્શન કર્યા બાદ, અચાનક 8મી એપ્રિલે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, ભાજપના સૂત્રો અને સાથી નેતાઓના મતે આ એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કેમ પાછી પાની?ધાર્મિક માલવીયાએ પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. તેમણે નિરીક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો, જે દર્શાવતું હતું કે તેઓ મેદાનમાં ઉતરવા માટે મક્કમ છે. પરંતુ, પાર્ટીના હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ સ્થિતિ બદલાઈ છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, ધાર્મિક માલવીયાને માત્ર એક વોર્ડ પૂરતા સીમિત રાખવાને બદલે સમગ્ર સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કારણોસર જ તેમણે 8 એપ્રિલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ઉમેદવારી પડતી મૂકી છે. વિધાનસભાની ચૂંટણી અને મોટી જવાબદારીના સંકેતભાજપના મોવડી મંડળ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે ધાર્મિક માલવીયાને આગામી સમયમાં કોઈ મોટી સંગઠનાત્મક અથવા રાજકીય જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને અત્યારથી જ મોટા ફલક પર તૈયાર કરવા માંગે છે. સુરતના પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપનું 'કમળ' વધુ જોરથી ખીલે તે માટે ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાની જોડીને મેદાનમાં ઉતારવામાં આવી છે. આ બંને યુવા નેતાઓ હવે કોઈ એક વોર્ડમાં અટવાઈ રહેવાને બદલે શહેરના તમામ પ્રભાવી વોર્ડમાં પ્રચારની કમાન સંભાળશે. અલ્પેશ કથીરિયાએ વ્યૂહરચના પરથી ઊંચક્યો પડદોધાર્મિક માલવીયાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ધાર્મિકભાઈએ ગત અઠવાડિયે જ પ્રદેશના ઉચ્ચ નેતૃત્વ સમક્ષ પોતાની અનિચ્છા વ્યક્ત કરી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત ચૂંટણી જીતવા કરતા પાર્ટીને મહત્તમ બેઠકો જીતાડવાનો છે. હાલમાં સુરતના 8થી 10 વોર્ડ એવા છે, જ્યાં પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી 18 આલમનો પ્રભાવ છે. આ તમામ વિસ્તારોમાં જઈને ઉમેદવારોને મજબૂત કરવા અને સુરત શહેરમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ધાર્મિકભાઈએ આ ત્યાગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, સેન્સ પ્રક્રિયા એ લોકશાહીનો ભાગ છે પણ પાર્ટીનું હિત સર્વોપરી છે. બૂથ લેવલનું આયોજન અને વિપક્ષ પર પ્રહારભાજપે આ વખતે ચૂંટણીમાં 'બૂથ જીતવા'નો લક્ષ્યાંક રાખ્યો છે. અલ્પેશ કથીરિયાના મતે આ કોઈ વ્યક્તિગત રણનીતિ નથી પણ ભારતીય જનતા પાર્ટીની એક સુવ્યવસ્થિત ફોજનું કામ છે. કાર્યકર્તાઓની મોટી ટીમ દરેક ઘર સુધી પહોંચશે. વોર્ડમાં થયેલા વિકાસકામોની યાદી લોકો સમક્ષ મુકશે અને આગામી પાંચ વર્ષના સંકલ્પો વિશે માહિતગાર કરશે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી વિપક્ષ માત્ર મતો મેળવવા માટે જનતાનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ કામગીરીના નામે શૂન્ય છે. લોકો હવે ગુમરાહ થવા માંગતા નથી અને એટલે જ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. કેસરીયો લહેરાવવા માટે 'ટીમ વર્ક' પર ભારધાર્મિક માલવીયાનું ચૂંટણી મેદાનમાંથી ખસી જવું એ હકીકતમાં ભાજપની આક્રમક રણનીતિનો પુરાવો છે. પાર્ટી ઈચ્છે છે કે, લોકપ્રિય ચહેરાઓ માત્ર પોતાની બેઠક બચાવવામાં સમય ન બગાડે પરંતુ, આસપાસની અન્ય બેઠકો પર પણ જીત સુનિશ્ચિત કરે. ધાર્મિક માલવીયા હવે સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા ભજવશે, જેનો સીધો ફાયદો સુરતના અન્ય ઉમેદવારોને મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં વિપક્ષ મજબૂત દેખાય છે ત્યાં ધાર્મિકની લોકપ્રિયતા અને સંગઠન શક્તિ ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:02 pm

ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા:પાંડેસરાના બમરોલી રોડ પર વેસ્ટેજના જથ્થામાં ભીષણ આગ, દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં

સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ રોડ પર આજે ખુલ્લામાં રાખેલા વેસ્ટેજના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ મટીરિયલને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાઆગની આ ઘટનાને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ફાળ પડી હતી. વેસ્ટેજ મટીરિયલ હોવાથી જ્વાળાઓ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી હતી. સુરત ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથીસદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ ઓલવાયા બાદ ફાયર ફાઈટરો દ્વારા હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભે વધતા જતા આગના બનાવોને જોતા વેસ્ટેજ અને જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ બાબતે વધુ તકેદારી રાખવી જરૂરી બની છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 4:00 pm

સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ AAPના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર:મનોજ સોરઠીયાએ કહ્યું- શાસક પક્ષમાં ટિકિટ માટે અંદરો અંદર ખેંચતાણ, કોંગ્રેસમાં યોગ્ય ઉમેદવારોની અછત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારો જાહેર કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. AAP દ્વારા રાજ્યભરની 5500થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને યોગ્ય ઉમેદવારોના અભાવે હજુ સુધી યાદી જાહેર થઈ શકી નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં વિલંબ થતા રાજકીય ગરમાવો વધ્યો છે. AAPના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્તઆમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી પોતાના પત્તા ખોલી શક્યા નથી. AAPના ઉમેદવારો હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપના કાર્યકર્તાઓ લાંબા સમયથી યાદીની રાહ જોઈ રહ્યા છે. સોરઠીયાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે બંને મુખ્ય પક્ષો પર ભારે દબાણ ઊભું થયું છે. શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદોભાજપ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદો પ્રવર્તી રહ્યા છે. મોટા નેતાઓ પોતાના માનીતા માણસોને ટિકિટ અપાવવા માટે અંદરો અંદર ખેંચતાણ કરી રહ્યા હોવાથી ઉમેદવારોના નામ નક્કી કરવામાં અવરોધ આવી રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવારોની અછત હોવાથી તેઓ યાદી જાહેર કરવામાં પાછળ પડ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:54 pm

'બીજા તળાવે આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ':મોટપમાં તળાવના ખોદકામની માપણી કરતા ઉપસરપંચ પર હુમલો, કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો સામે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઈ

મહેસાણાના બેચરાજીના મોટપ ગામે તળાવના ખોદકામની માપણી કરવા ગયેલા ગામના ઉપસરપંચ અને અન્ય ગ્રામજનો પર હુમલાનો પ્રયાસ કરી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોઢેરા પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાવના ખોદકામની માપણી સમયે હુમલોમોટપ ગામના ઉપસરપંચ સુરેશ પટેલ ગત સાંજે ગામના અન્ય સાક્ષીઓ સાથે સર્વે નંબર 776માં આવેલા ગામ તળાવના ખોદકામ અને માટીકામની માપણી કરવા માટે ગયા હતા. આ કામનો કોન્ટ્રાક્ટ કાલરીના ધરમસિંહ ઉર્ફે ધમો સોલંકી મળેલો હતો. માપણી ચાલી રહી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટર ધરમસિંહ સોલંકી તેનો મિત્ર ગોસ્વામી અને અન્ય 8થી 10 માણસો બે કાળા રંગની સ્કોર્પિયો ગાડીઓ લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીઆરોપીઓએ ઉપસરપંચનો કોલર પકડી ઝપાઝપી કરી હતી અને ખોદકામના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં કેમ મૂક્યા છે? તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. જ્યારે અન્ય ગ્રામજનો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તમામ સામે બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપી ધરમસિંહ સોલંકીએ પોતાની ગાડીમાંથી કુહાડી કાઢી ઉપસરપંચ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી બચાવ કર્યો હતો. જતા-જતા આરોપીઓએ જાહેરમાં એવી ધમકી પણ આપી હતી કે હજુ બીજું તળાવ પણ ખોદવાનું છે.જો ત્યાં આવ્યા છો તો જીવતા પાછા નહીં જાઓ. આ ઘટના બાદ ઉપસરપંચ સહિતના ગ્રામજનોએ એકઠા થઈ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:40 pm

નવસારી મહાનગરપાલિકા વોર્ડ-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ મતદારોવાળા ભાજપના ગઢમાં જળબંબાકાર અને સ્લમ રિડેવલપમેન્ટનો ગજગ્રાહ, શું મુસ્લિમ મતો ફરી ખીલવશે 'કમળ'?

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. શહેરના તમામ વોર્ડમાં સમીકરણો બદલાઈ રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 4 અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મુસ્લિમ મતદારોના પ્રભુત્વ છતાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં આ વખતે જળબંબાકાર, ટ્રાફિક અને સ્લમ રિડેવલપમેન્ટ જેવા સ્થાનિક પ્રશ્નો સત્તાધારી પક્ષ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. મુસ્લિમ અને પારસી મતદારો નિર્ણાયકવોર્ડ નંબર 4 ની ભૌગોલિક અને સામાજિક રચના પર નજર કરીએ તો અહીં કુલ 12,859 મતદારો નોંધાયેલા છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 6,486 અને પુરુષ મતદારોની સંખ્યા 6,373 છે. મુસ્લિમ મતો: અંદાજે 5,200, કુલ મતોના 40%પારસી મતો: અંદાજે 250, જે નિર્ણાયક સાબિત થઈ શકે છે અહીં મેમણ જ્ઞાતિના આશરે 850 મતો પરંપરાગત રીતે ભાજપની જીતમાં મોટી ભૂમિકા ભજવતા આવ્યા છે. વિકાસના દાવા વિરુદ્ધ પાયાની સમસ્યાઓઆ વોર્ડમાં વિકાસના કામો થયા હોવાના દાવા સામે સ્થાનિકોની નારાજગી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. 1.જળબંબાકારની કાયમી સમસ્યા: સ્થાનિક અગ્રણી ધર્મેશભાઈ માલીના જણાવ્યા મુજબ, સમગ્ર શહેરનું પાણી વોર્ડ-4 માં એકઠું થાય છે. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ઘરોમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થાય છે. વિપક્ષનો આરોપ છે કે 30 વર્ષના શાસન છતાં ડ્રેનેજની કોઈ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. 2. સ્લમ રિડેવલપમેન્ટ અને આવાસ: વોર્ડમાં સ્લમ વિસ્તાર વધુ હોવાથી નવી ઇમારતો બનાવવાની યોજના છે. જોકે, સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમને વિસ્થાપિત કરતા પહેલા યોગ્ય વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. 3. પાણી અને ટ્રાફિકની સમસ્યા: સ્થાનિક રહેવાસી સોહેલ ખાન જણાવે છે કે, વિસ્તારમાં ટ્રાફિક અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા વિકરાળ છે. ભૂતકાળમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જવાની ગંભીર ફરિયાદો પણ ઉઠી હતી. ભાજપના કાર્યકર આશિફ બરોડાવાળા આક્ષેપોને નકારતા જણાવે છે કે, આ વોર્ડમાં રેકોર્ડબ્રેક ₹1.12 કરોડના ખર્ચે રોડ અને ડ્રેનેજ લાઈનના કામો થયા છે. પાણી ભરાવાની સમસ્યા માટે ડેમ પ્રોજેક્ટ કાર્યરત છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. બીજી તરફ, રહીશો ઈચ્છી રહ્યા છે કે આ વખતે પક્ષ ગમે તે હોય, પણ ઉમેદવાર એવો હોય જે જમીની સ્તર પર જોડાઈને કામ કરે. ગ્રીન એવન્યુ, ઝવેરી સડક, ખાટકીવાડ અને શંખેશ્વર પાર્ક જેવા વિસ્તારોમાં લોકો પરિવર્તન કે સાતત્ય વચ્ચે મુંઝવણમાં છે. વોર્ડ નંબર 4 માં મુસ્લિમ મતદારો ભાજપ માટે હંમેશા 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયા છે. પરંતુ, શું ₹1.12 કરોડના વિકાસના દાવા સામે ટ્રાફિક અને જળબંબાકારની પીડા ભારે પડશે? શું લઘુમતી સમુદાય ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકશે કે પછી કોઈ 'સનિષ્ઠ' નવા ચહેરાને તક આપશે? તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:38 pm

ભાજપનો ગાંધીનગર સર કરવાનો ગજગ્રાહ:પંચાયત અને નગરપાલિકાના જંગ માટે ઉમેદવારોના નામ જાહેર, કલોલ-દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને મેદાને ઉતાર્યા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે રણનીતિના પ્રથમ તબક્કાની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલા મંથન બાદ ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ વિકાસની રાજનીતિની સાથે જ્ઞાતિગત મજબૂતી સાથે મેદાનમાં ઉતર્યું છે. ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યોગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે જાહેર કરાયેલા નામોમાં ઠાકોર અને પટેલ સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. અડાલજ બેઠક પરથી ચેતનાબેન ઠાકોર અને લોદરાથી કલ્પેશ પટેલ જેવા નામો સાથે ભાજપે ગ્રામીણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્ત્રી અનામત બેઠકો પર પક્ષે નવા અને સક્રિય મહિલા ચહેરાઓને તક આપીને મહિલા સશક્તિકરણનો કાર્ડ પણ ખેલ્યો છે. ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથીજ્યારે ​તાલુકા પંચાયતોના સ્તરે જોઈએ તો કલોલની 22, માણસાની 26 અને દહેગામની 28 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક સ્તરે પક્ષનો પ્રભાવ જાળવી રાખવા પર ભાર મૂકાયો છે. માણસામાં જે રીતે ચૌધરી અને ચાવડા જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે જોતા ભાજપ અહીં કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. એવી જ રીતે દહેગામ તાલુકા પંચાયતમાં ઝાલા અને ચૌહાણ ઉમેદવારોની મોટી સંખ્યા પક્ષની જૂની અને ભરોસાપાત્ર રણનીતિનો હિસ્સો હોવાનું જણાય છે. વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવીએ જ રીતે શહેરી વિસ્તારોની વાત કરીએ તો કલોલ નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો અને દહેગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કલોલમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ પક્ષે ઉમેદવારો ઉભા રાખીને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જેની ઝલક વોર્ડ નંબર 2માં જોવા મળે છે. દહેગામ નગરપાલિકામાં પણ લઘુમતી સમુદાયના ઉમેદવારોને સ્થાન આપીને ભાજપે વિપક્ષોના મતોમાં ગાબડું પાડવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપે આ વખતે કોઈ મોટા પ્રયોગો કરવાને બદલે પાયાના કાર્યકરો અને જ્ઞાતિના પ્રભાવશાળી ચહેરાઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ મજબૂત ફિલ્ડિંગ સામે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે અને જનતા કોના પર કળશ ઢોળે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:34 pm

સુરેન્દ્રનગર યંગ્સ ક્લબમાં આગ:મલાર ચોક નજીક ક્લબને મોટું નુકસાન, ફાયરે કાબૂ મેળવ્યો

સુરેન્દ્રનગરના મલાર ચોક નજીક આવેલી યંગ્સ ક્લબના કમ્પાઉન્ડમાં આજે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં ક્લબને મોટું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી તે સમયે ક્લબમાં ટેબલ ટેનિસ રમી રહેલા ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ક્લબ બિલ્ડિંગની બારીઓ પણ સળગી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ક્લબના સભ્યોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા, ફાયર વિભાગની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. યંગ્સ ક્લબમાં પાંચથી વધુ ટેબલ ટેનિસ ટેબલ આવેલા છે, જ્યાં 25થી વધુ ખેલાડીઓ નિયમિત રમવા માટે આવે છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:30 pm

'ઘરમાં રહેવું હોય તો પતિ કહે તેમ જ કરવું પડશે':મુંબઈના સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા પિયર ભેગી થઈ, પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

મુંબઈમાં રહેતા પતિ અને સાસરિયાંઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર-22માં પિયરમાં 36 વર્ષીય પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી દેવામાં આવતા મહિલા પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પતિએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધુંહાલમાં ગાંધીનગર પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અજીત પરદેશી, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન 25 જાન્યુઆરી 2014ના રોજ હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતનું એક અઠવાડિયું સુખદ રહ્યું હતું પરંતુ, ત્યારબાદ પતિ અજીત દ્વારા નાની-નાની બાબતોમાં બીભત્સ ગાળો બોલી અપમાનિત કરવાનું શરૂ કરાયું હતું. બાદમાં ફેબ્રુઆરી, 2014માં પરિણીતા મુંબઈ ખાતે સાસરે રહેવા ગઈ ત્યારે પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી મોબાઈલ ફોન ચેક કરવા જેવી બાબતોથી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધું હતું. પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરીઆ અંગે જ્યારે પોતાના પર થતા અત્યાચાર અંગે સાસુ-સસરાને જાણ કરી ત્યારે મદદ મળવાને બદલે તેમને વધુ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એ વખતે સાસુએ કહ્યું હતું કે, આ ઘરમાં રહેવું હોય તો તારો પતિ કહે તેટલું કરવાનું અને તે જે કહે તે સહન કરવાનું. આ દરમિયાન પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી હતી. બાદમાં દંપતી જ્યારે કેનેડા સ્થાયી થયું હતું ત્યારે પણ પતિની ક્રૂરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ દરમિયાન તેણીને જાણ થઈ હતી કે, પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે અને તે તેને આર્થિક મદદ પણ કરે છે. હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ, તને જાનથી મારી નાખીશઆ બાબતે માથાકૂટ થતા પતિએ ગર્ભિત ધમકી આપેલી કે, જો તું કોઈને કહીશ તો હું તારા નામની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લઈશ. જેના લીધે પરિણીતાએ ચુપકીદી સાધી લીધી હતી. જોકે પતિ અને સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતા ખંજનબેન છેલ્લા 10 માસથી તેમના બે બાળકો સાથે ગાંધીનગર પિયરમાં રહે છે. ત્યારે જાન્યુઆરી 2026માં પતિએ ફોન પર ધમકી આપી હતી કે, હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ અને જો તું બાળકો નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:29 pm

રાજ્યમાં ગરમીનું જોર વધશે, 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે:હવામાનની આગાહી મુજબ, દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ગરમીનું જોર વધશે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીમાં વધારો થશે. દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધશે. ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. જોકે આજથી જ રાજ્યમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો અતિશય વધી ગયો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

મનપાના ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ:સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ફોન આવ્યો

ગુજરાતની મહાનગરપાલિકા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની આજે 10 એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી રહી છે. સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી હતી ત્યારે બપોરે 2:30 વાગ્યા બાદ અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. દેવાંગ દાણીને ટેલિફોનિક જાણ કરી દેવાઈ AMC સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. એટલે કે દરેક ઉમેદવારોને સૌથી પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.જો કે ભાજપની સત્તાવાર યાદી સાંજે જાહેર કરવામાં આવશે. જોધપુર, બોડકદેવ વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યા આજે બપોરે 2.30 વાગ્યા બાદ વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. સૌપ્રથમ જોધપુર વોર્ડ, બોડકદેવ વોર્ડ, સરખેજ વોર્ડ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવમાંથી ઉમેદવાર તરીકે ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને ઉમેદવારી માટેનો ફોન આવી ગયો છે. જ્યારે સરખેજ વોર્ડમાં એક પણ કોર્પોરેટરને ફરીથી ટિકિટ મળી શકે તેમ નથી. જ્યારે વેજલપુર બોર્ડમાં રાજેશ ઠાકોર અને પારુલ દવેને ફોન કરીને ઉમેદવાર તરીકેની જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુનેગારોને કડક ચેતવણી આપી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસ અધિક્ષકે ગુનેગારોને કડક કાનૂની ચેતવણી આપી છે. આ ચેતવણી કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સંબંધી ગુનેગારો, લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, MCR (મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ) અને હિસ્ટ્રીશીટરોને પાઠવવામાં આવી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે ગુનેગારોને કઠોર કાયદાકીય ભાષામાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:28 pm

દહેજમાં લઘુ ઉદ્યોગ ભારતીનો સ્નેહમિલન સમારોહ યોજાયો:MSME એકમોની સમસ્યાઓ અને વિકાસ પર ચર્ચા, ટેક્નોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહન

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત DIA ભવન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી (દહેજ ઈકાઈ) દ્વારા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના ઈશ્વર પટેલ તેમજ અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ અને ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજી પરમાર, DIA પ્રમુખ ડો. સુનિલ ભટ્ટ, બળદેવ આહિર, દહેજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહેન્દ્રસિંહ રણા અને દીપક પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો (MSME) ને નડતી વિવિધ સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ ઉદ્યોગકારોને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મંચ ઉદ્યોગકારો માટે પરસ્પર વિચારોના આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સહભાગીઓએ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:16 pm

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસના ઉમેદવારો ઢોલ-નગારા સાથે ઘોડા પર સવાર થઈને તો 'આપ'ના ઉમેદવારોએ સાદગીપૂર્વક રીતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રીગણેશ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.ચૂંટણીના જંગની સત્તાવાર શરૂઆત થતા જ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંધવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ચૂંટણીના ઢોલ-નગારાના ગડગડાટ સાથે તેઓ ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારોએ પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 8ની જનતાની પાયાની સમસ્યાઓને વાચા આપવા માટે રણમેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના શાસનથી ત્રસ્ત થયેલા લોકોને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોર્પોરેશનના બાળકો માટે પ્રાઈવેટ જેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવામાં આવશે. ઉપરાંત જનતાના આરોગ્યને પ્રાધાન્ય આપીને નાના ક્લિનિકો સંપૂર્ણપણે ફ્રી કરી આપવાનું વચન પણ તેમણે આપ્યું હતું. રોડ-રસ્તા અને અન્ય માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાની સાથે જનતાની વચ્ચે રહીને તમામ પ્રશ્નોના નિકાલની ખાતરી તેમણે આપી હતી. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે જનતાના પાયાના પ્રશ્નો અને પાયાની સવલતો પૂરી કરવા માટે તેઓ કટિબદ્ધ છે. છેલ્લા સમયમાં કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે આવ્યા છે અને તેના કારણે જે આમ જનતાને ભોગ બનવું પડ્યું છે, તે પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી તેમના માટે એક યુદ્ધ સમાન છે. જે રીતે કોર્પોરેશનમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે તેની સામે લડવા માટે યુદ્ધના મેદાનની જેમ જ રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને લોકોના અધિકારો માટે તેઓ ઘોડા સાથે ચૂંટણીના જંગમાં જોડાયા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કમર કસી છે. વોર્ડ નંબર 4 માંથી ગુજરાત પ્રવક્તા અને વિધાનસભા 68 ના અધ્યક્ષ રાહુલ ભુવા દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. રાહુલ ભુવાએ કોઈપણ પ્રકારના ભપકા વિના અત્યંત સાદગીપૂર્વક પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. તેમની સાથે આ જ વોર્ડમાંથી હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમણે ઉમેદવારોના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ભુવાએ ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી જનસેવાના કાર્યો સાથે જોડાયેલા છે અને વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે મતદારોને પારદર્શક અને જવાબદાર શાસન આપવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટી આ વખતે સ્વચ્છ રાજકારણ અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે. રાજકોટમાં એક તરફ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવાની પરંપરા જોવા મળી, તો બીજી તરફ સાદગી સાથે જનસંપર્ક પર ભાર મૂકતા ઉમેદવારો પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે તેવું જણાઈ રહ્યું છે. તમામ પક્ષો અત્યારે પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને નવા વિસ્તારોમાં પગપેસારો કરવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:08 pm

નડિયાદ મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર:ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, 26 એપ્રિલે મતદાન, 28મીએ મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:02 pm

ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા સહિતની 8 બેઠક પર પક્ષના હાઈકમાન્ડની સૂચના બાદ દાવેદારી રજૂ કરી

પંચમહાલ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ગોધરા તાલુકા પંચાયતની 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ આ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આ 8 બેઠકોમાં નદીસર, ટીંબા, રતનપુર, મોટીકાંટડી, કરસાણા, જૂની ધરી, ધાણિત્રા અને કાકણપુરનો સમાવેશ થાય છે. પક્ષ તરફથી નામો નક્કી થયા બાદ, તમામ ઉમેદવારોએ ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 3:02 pm

13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મહાનિર્દેશક દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ' અંતર્ગત પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડે 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી વિરુદ્ધ વર્ષ 2013માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC કલમ 406, 420)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે મુખ્ય આરોપી હતો અને છેલ્લા 13 વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ IG વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના મુજબ, પેરોલ ફ્લો સ્ક્વોડના PSI બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી જેસાભાઈ રબારીને કસ્ટડીમાં લીધો હતો. પંચમહાલ પોલીસે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 13 વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનાના આરોપીને પકડવા બદલ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:58 pm

જૂનાગઢ મનપા સામાન્ય સભા::​વિપક્ષનો રોડ,ઓડિટ અને વીમા મુદ્દે હંગામો,કોર્પોરેટર પ્રવીણ વાઘેલાના વર્તન સામે વિપક્ષનો વિરોધ, જનતા માટે અકસ્માત વીમો ઉતારવા લલિત પરસાણાની માંગ

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યોની સમીક્ષા અને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાઓને કરવામાં આવી હતી.સભામાં શહેરના વર્ષો જૂના શોપિંગ સેન્ટરના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી આગામી બે માસમાં કબજો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના કામો અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ​બીજી તરફ, વહીવટી પારદર્શિતાના મુદ્દે હિસાબોમાં જોવા મળતી વિસંગતતા અને પેન્ડિંગ ઓડિટ બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા . તેમજ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે વોકળા સફાઈ અને ઝર્ઝરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જોકે ચર્ચા દરમિયાન પક્ષ વિપક્ષ સભ્યો વચ્ચેના વાકયુદ્ધને કારણે બોર્ડની ગરિમા જાળવવા બાબતે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું.બોર્ડમાં શહેરના વિકાસકામો, ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિપક્ષ દ્વારા જનતાની સુરક્ષા માટે મુકવામાં આવેલી અકસ્માત વીમાની દરખાસ્તને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ​બોર્ડની ગરિમા અને કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો મુદ્દો સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાના વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રવીણભાઈ વાઘેલા દરેક સામાન્ય સભામાં બોર્ડની ગરિમા જાળવતા નથી અને અધ્યક્ષની મંજૂરી વગર વારંવાર વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે. વિપક્ષે જણાવ્યું કે જ્યારે જનહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે આવી દખલગીરીથી મૂળ મુદ્દાઓ ભટકી જાય છે. બીજી તરફ, શાસક પક્ષના નેતા મનન અભાણીએ બચાવ કરતા કહ્યું હતું કે, પ્રવીણભાઈએ તેમના વોર્ડની સાચી માહિતી આપવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વિગતો રોકવા માટે મધ્યસ્થી કરી હતી. ​જનતા માટે સામૂહિક અકસ્માત વીમાની માંગ વિપક્ષી નેતા લલિતભાઈ પરસાણાએ જૂનાગઢની જનતા માટે એક મહત્વની માંગણી કરતા જણાવ્યું કે શહેરમાં ખરાબ રસ્તા, ખુલ્લા ખાડા અને ઝર્ઝરિત ઇમારતોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે નાગરિકો નિયમિત ટેક્સ ભરે છે, તેમની સુરક્ષાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તેમણે દરખાસ્ત મૂકી હતી કે મનપાની બેદરકારીને કારણે થતા અકસ્માતોમાં લોકોને આર્થિક વળતર મળી રહે તે માટે મનપાએ 'બલ્ક અકસ્માત વીમો' ઉતારવો જોઈએ. આ પ્રકારના વીમાથી મોંઘવારીના સમયમાં ઈજાગ્રસ્ત નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે. ​જોષીપુરા શોપિંગ સેન્ટરનો ઉકેલ અને રોડ-રસ્તાની કામગીરી શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે આ સભામાં જોષીપુરા માઈક્રો શોપિંગ સેન્ટરનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો છે અને આગામી બે માસમાં વેપારીઓને દુકાનનો કબજો મળી જશે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાની કામગીરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં નવા રસ્તા બનાવવાનું શરૂ કરી દેવાયું છે. વિપક્ષ દ્વારા માત્ર ભાજપ કાર્યાલય પાસે જ રોડ બને છે તેવા આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું કે જોષીપુરાથી શાંતેશ્વર સુધીનો આખો મુખ્ય માર્ગ બની રહ્યો છે, જેમાં કોઈ રાજકીય પક્ષપાત રાખવામાં આવ્યો નથી. ​ઓડિટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા મનપાના હિસાબોમાં મોટી વિસંગતતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. લલિતભાઈ પરસાણાએ જણાવ્યું કે હાઉસ ટેક્સ અને એકાઉન્ટ શાખાના આંકડાઓમાં 20 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી મનપાનું ઓડિટ થયું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ભીતિ છે. આ બાબતે નાણા વિભાગને પણ પત્ર લખીને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ વાઉચર અને રકમનો મેળ ન ખાતો હોવો તે ગંભીર બાબત છે. ​ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને ઝર્ઝરિત ઇમારતો આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વિપક્ષે આગ્રહ કર્યો હતો. કાળવા સહિતના મુખ્ય વોકડાઓની સફાઈ અને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ હતી. તાજેતરમાં કડિયાવાડ વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મહિલાને થયેલી ઈજા અંગે મનપાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આવી જોખમી ઇમારતોના માલિકોને 5 દિવસની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે અને જો મરામત નહીં કરવામાં આવે તો મનપા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી જોખમી ભાગ ઉતારી લેવામાં આવશે. જૂનાગઢ મનપાનું આ જનરલ બોર્ડ વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે અત્યંત તોફાની રહ્યું હતું. શાસકોએ વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવાનો દાવો કર્યો હતો, જ્યારે વિપક્ષે જનતાની સુરક્ષા અને હિસાબી પારદર્શિતાના મુદ્દે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:54 pm

રાજકોટના શખસે સોલર સિસ્ટમના નામે છેતરપિંડી:પાટણના નિવૃત્ત વૃદ્ધ સાથે એક લાખની ઠગાઈ આચરી, 10 વર્ષ જૂના મિત્રે વિશ્વાસઘાત કરી પૈસા પડાવ્યા

પાટણ શહેરમાં સોલાર સિસ્ટમ લગાડવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે 1,00,000 રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10 વર્ષ જૂના મિત્રએ જ વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લીધા બાદ કામ ન કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યોફરિયાદની વિગત મુજબ, પાટણના કેનાલ રોડ પર આવેલી શિવવિહાર સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ભરત વાણીયાની મિત્રતા અંદાજે 10 વર્ષ પહેલાં રાજકોટના (હાલ ગોંડલ) લાલજી રણછોડ સિંધવ સાથે થઈ હતી. લાલજી અવારનવાર ભરતના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પોતે સોલારનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ભરતના બે મકાનો પર સોલાર સિસ્ટમ ફિટ કરવા માટે સમજાવ્યા હતા. બે હપ્તામાં 1 લાખ પડાવ્યામિત્ર પર વિશ્વાસ રાખી ભરતે સોલાર ફિટ કરાવવાની સહમતી આપી હતી. લાલજીના કહેવા મુજબ, ભરતે 7 ફેબ્રુઆરી 2022ના રોજ પુત્ર નિરવના ખાતામાંથી 50,000 અને 28 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાના ખાતામાંથી બીજા 50,000 મળી કુલ 1,00,000 રૂપિયા જયેશ અશોક નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા. સહી વગરનો ચેક આપી છેતરપિંડી કરીનાણાં મેળવ્યા બાદ લાલજીએ સોલાર લગાડવા બાબતે બહાનાબાજી શરૂ કરી હતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. લાંબી ઉઘરાણી બાદ લાલજીએ ભરતના પત્નીને બેન્ક ઓફ બરોડાનો 50,000 રૂપિયાનો એક ચેક આપ્યો હતો. જોકે, આ ચેકમાં લાલજીએ સહી કરી ન હોવાથી તે બેન્કમાં જમા કરાવી શકાય તેમ નહોતો. પોલીસ કાર્યવાહીપોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ભરત વાણીયાએ પુત્ર સાથે પોલીસ સ્ટેશન જઈ લાલજી રણછોડ સિંધવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:42 pm

રાજ્યપાલની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ:151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ, કુલ 54346ને પ્રમાણપત્ર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. આ સમારોહમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ સાથે સંકળાયેલી આ યુનિવર્સિટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા, પરંતુ રાજ્યપાલ હવે તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ગમે તેટલા મોટા બને તો પણ માનવતા અને ઇન્સાનિયત ન છોડવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા અને ગુરુજનોને દેવતા સમાન સન્માન આપવા પણ ટકોર કરી હતી. તેમણે વિદ્યાનો પ્રચાર કરીને દુનિયાનું ભલું કરવા અને કાર્યક્ષેત્રમાં એક સારો માણસ બનીને જવાની પ્રેરણા આપી હતી, જેથી તેમની પ્રગતિ સાર્થક બને.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:34 pm

હિંમતનગરમાં મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ:શોભાયાત્રા અને ધજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલી માતાજીનો 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 17મા પાટોત્સવ નિમિત્તે શુક્રવારે બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર દ્વારા જપાત્મક ચંડી પાઠનું આયોજન કરાયું હતું. ત્યારબાદ માતાજીની ફોટો પ્રતિમાને રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ મંદિરના શિખર પર પૂજન-અર્ચન સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સુખડીનો પ્રસાદ વિતરણ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:33 pm

પારડીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:નાણામંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહ્યાં, વિકાસની યાત્રા આગળ ધપાવવા આહ્વાન કરાયું

વલસાડ જિલ્લાના પારડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા અને વર્ષ 2001થી શરૂ થયેલી વિકાસની રાજનીતિને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉમેદવારી પત્રો ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહ પૂરવાનો હતો. ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પંચાયત રાજ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એક રીતે 'મિની વિધાનસભા' સમાન છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ તરફી માહોલ છે અને પારડીમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2001થી જે વિકાસની યાત્રા શરૂ થઈ છે, તેને આ ચૂંટણીઓ વધુ વેગ આપશે. પરિયા, સુકેશ, ટુકવાડા અને ઉમરસાડી જેવી વિવિધ બેઠકો પરથી ભાજપના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા હતા. કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણી સરકાર હોય, ત્યારે વિકાસના કામો અને લોકોની સુખાકારીના કાર્યો વધુ ઝડપથી થઈ શકે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો કેસરીયા ખેસ ધારણ કરી ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે કનુભાઈ દેસાઈના આશીર્વાદ લીધા હતા અને 'ભારત માતા કી જય'ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:20 pm

પાલનપુરના પૂર્વ ભાજપ નેતા સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી:ટિકિટ ન મળતા વોર્ડ 2ના પૂર્વ પાણી પુરવઠા ચેરમેન પાર્ટીથી નારાજ, કહ્યું- MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ

બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ આ ઘટના બની છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો છે. સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાવવા અંગે સાગર માળીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને તેમને ટિકિટ આપવાની ના પાડી હતી. લોકોની લાગણી અને આગ્રહને માન આપીને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને તેઓ 100 ટકા જીતની આશા રાખે છે. સાગર માળીએ વધુમાં કહ્યું કે પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો આ નિયમ ફક્ત કોર્પોરેટરો પૂરતો હોય, તો તે MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે જો આ નિયમ સર્વે માટે હોય, તો તેઓ આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 2:16 pm