ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેકનિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. કઈ પોસ્ટની કેટલી જગ્યા પર ભરતી?ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, મુખ્યત્વે બે વિભાગોમાં ભરતી કરવામાં આવશે. જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) ની 172 અને ટેકનિકલ ઓપરેટરની 698 મળી કુલ 870 જગ્યાઓ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) ની 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) ની 45 મળી કુલ 80 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશેઆ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિવિધ પ્રવાહો જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જે માટે ઓનલાઈન અરજીઓ તા. 9 જાન્યુઆરી બપોરે 14 કલાક થી તા. 29 જાન્યુઆરી/રાત્રિના 23.59કલાક સુધી સ્વીકારવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃPSI અને LRDની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી 21 જાન્યુ.થી શરૂ, કોલલેટર અંગે ટૂંક સમયમાં જાહેરાત ગુજરાત પોલીસમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે. જોકે, શારીરિક કસોટી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભરતી બોર્ડ દ્વારા જાણાવાયું છે. PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, PSI અને LRD જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારોને સલાહ પણ આપવામાં આવી છે કે, તેઓ નિયમિત રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર નજર રાખે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
આગામી ઉત્તરાયણના તહેવારને પર્વે પતંગબાજીનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે, ત્યારે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જનતાની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. રેલવે પ્રશાસને નાગરિકોને ચેતવણી આપી છે કે રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી 25,000 વોલ્ટની હાઈ-વોલ્ટેજ ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનો (OHE) જીવલેણ સાબિત થઈ શકે છે. રાજકોટ ડિવિઝનના તમામ રેલવે સેક્શન હાલમાં હાઈ-વોલ્ટેજ લાઈનો દ્વારા કાર્યરત છે. પતંગ ઉડાવતી વખતે ઘણીવાર દોરી આ વાયરોમાં ફસાઈ જતી હોય છે. ખાસ કરીને ચાઈનીઝ માંજા અથવા ધાતુના અંશ ધરાવતી અને ભેજવાળી દોરી વીજળીની સુવાહક બને છે. જો આવી દોરી હાઈ-વોલ્ટેજ લાઈનને અડકે, તો તેમાંથી પસાર થતો હાઈ-વોલ્ટેજ કરંટ નીચે પતંગ ઉડાવનાર વ્યક્તિ સુધી પહોંચી શકે છે, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. આ સંભવિત જોખમને ધ્યાને રાખીને રેલવે દ્વારા નાગરિકોને સુરક્ષા અને કાયદાકીય દ્રષ્ટિએ રેલવે ટ્રેકની આસપાસ પતંગ ઉડાવવી જોખમી છે, તેથી ત્યાં જવાનું ટાળવા, જો કોઈ પતંગ કે દોરી વાયરોમાં ફસાઈ જાય, તો તેને કાઢવા માટે લોખંડના સળિયા, લાકડી કે અન્ય કોઈપણ વસ્તુનો ઉપયોગ નહીં કરવા, વાલીઓએ ખાસ તકેદારી રાખવી કે પતંગ પકડવાની લાલચમાં બાળકો રેલવે ટ્રેક પર ન ચઢી જાય તેની તકેદારી રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે આમ,ફસાયેલા દોરા માત્ર પતંગબાજો માટે જ નહીં, પરંતુ રેલવેના ટ્રેક મેન્ટેનન્સ સ્ટાફ અને ટ્રેનોની અવરજવર માટે પણ ગંભીર ટેકનિકલ ખામી સર્જી શકે છે. રાજકોટ ડિવિઝને અપીલ કરી છે કે ઉત્તરાયણનો તહેવાર આનંદ-ઉલ્લાસથી મનાવો, પરંતુ રેલવેની આ હાઈ-વોલ્ટેજ લાઈનોથી સુરક્ષિત અંતર જાળવીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો.
છેલ્લા કેટલાક સમયથી મોરબીના રાજકીય અને ઉદ્યોગ જગતમાં અફવા ચાલી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાના દેણા અને વિદેશ પ્રયાણ અંગે ચાલી રહેલી અફવાઓ પર અંતે તેમણે મૌન તોડ્યું છે. એક પત્રકાર પરિષદને સંબોધતા રાજકોટિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ક્યાંય ભાગી જવાના નથી અને તેમના પરનું મોટાભાગનું દેવું ચૂકવી દેવામાં આવ્યું છે. તેમના પર 350 કરોડનું દેવું હતું પરંતુ તેમાંથી 70 ટકા ભરપાઈ કરી દીધું છે. બાકી બચેલું 125 કરોડનું દેવું પણ એક બે વર્ષમાં ભરી દેશે. ખોટા મેસેજ વાઈરલ કર્યાના આક્ષેપપત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું છે કે, તેઓની ધંધાની પર્સનલ મેટર છે અને તેમના ઉપર 350 કરોડ જેટલું દેણું હતું, પરંતુ ધીમેધીમે કરતાં તેઓએ અત્યાર સુધીમાં લગભગ 70 ટકા જેટલું દેણું પૂરું કરી દીધું છે અને લગભગ 30 ટકા જેટલું દેણું છે. તે પણ આગામી 1થી 2 વર્ષની અંદર પૂર્ણ કરી દેશે. જો કે, કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા તેઓને તથા તેમની પાર્ટીને બદનામ કરવા માટે થઈને ખોટા મેસેજ વારંવાર વાઈરલ કરવામાં આવી રહ્યા છે. દેણા અંગેના આંકડાકીય ખુલાસા અફવાઓનું ખંડન અને આક્ષેપસોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજ અંગે તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેટલાક 'વિઘ્ન સંતોષી' તત્વો દ્વારા તેમને અને પક્ષને બદનામ કરવાના ઇરાદે પાયાવિહોણી વાતો ફેલાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, હું જાહેર જીવનમાં છું અને આજે પણ મારી ઓફિસે બેસીને રાબેતા મુજબ કામ કરી રહ્યો છું. હું મોરબીમાં જ છું અને ક્યાંય જવાનો નથી. લેણદારોને ખાતરીતેમણે વધુમાં વિશ્વાસ અપાવ્યો હતો કે જે લોકોએ તેમની પાસેથી નાણાં લેવાના નીકળે છે, તેમને વહેલી તકે પરત કરી દેવામાં આવશે. આ સ્પષ્ટતા સાથે તેમણે વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી.
રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. રાજ્યવાસીઓએ હવે કડકડતી ઠંડી સહન કરવા માટે પૂરેપૂરા તૈયાર રહેવું પડશે, કારણ કે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યાર બાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીનો ચમકારો વધશેઆ દરમિયાન પવનની ગતિમાં વધારો થશે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે. ઉત્તર-પૂર્વથી આવતા પવનો ફૂંકાવા લાગશે, જેનાથી ઠંડીનો ચમકારો વધુ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તાપમાન નીચું રહેવાની આગાહી છે. નલિયા જેવા વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ કે તેનાથી પણ નીચે જઈ શકે છે. રાજ્યમાં 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. અમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 9 ડિગ્રી સેલ્સિયસવડોદરામાં 14.6 ડિગ્રી સેલ્સિયસભાવનગરમાં 14.7 ડિગ્રી સેલ્સિયસભુજમાં 11.8 ડિગ્રી સેલ્સિયસદમણમાં 17.4 ડિગ્રી સેલ્સિયસડીસામાં 12.3 ડિગ્રી સેલ્સિયસદીવમાં 15 ડિગ્રી સેલ્સિયસદ્વારકામાં 16.1 ડિગ્રી સેલ્સિયસગાંધીનગરમાં 12 ડિગ્રી સેલ્સિયસકંડલામાં 14.8 ડિગ્રી સેલ્સિયસનલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસઓખામાં 19 ડિગ્રી સેલ્સિયસપોરબંદરમાં 16.7 ડિગ્રી સેલ્સિયસરાજકોટમાં 10.5 ડિગ્રી સેલ્સિયસસુરતમાં 16 ડિગ્રી સેલ્સિયસવેરાવળમાં 18.1 ડિગ્રી સેલ્સિયસ
પાટણ જિલ્લામાં રાયડાના પાક પર મોલો-મચ્છીનો પ્રકોપ જોવા મળ્યો છે. રવિ સીઝનમાં ખેડૂતોએ 25,000 હેક્ટરથી વધુ જમીનમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અગાઉ ભારે વરસાદ અને કમોસમી માવઠાનો સામનો કર્યા બાદ ખેડૂતોએ રવિ સીઝનમાં રાયડાના વાવેતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જિલ્લામાં આશરે 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે. પાક તૈયાર થવાના તબક્કે વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારના ઝાકળને કારણે મોલો-મચ્છીનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાત છોડ પરની સેંગોને નુકસાન પહોંચાડે છે, જેનાથી ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ સીઝનમાં ઓછી ઠંડી અને વાતાવરણમાં ભેજ વધવાને કારણે આ રોગચાળો ફેલાયો છે. ખેડૂતોએ બિયારણ, ખાતર અને ખેડ પાછળ વીઘા દીઠ ₹15,000 થી ₹20,000 જેટલો ખર્ચ કર્યો છે. જીવાત નિયંત્રણ માટે ફરીથી મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, જેનાથી ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર બદલાતા હવામાનને કારણે ખેડૂતોને આટલા ખર્ચ બાદ પૂરતું ઉત્પાદન મળશે કે કેમ તે અંગે ચિંતા છે. ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે. ગરમીના પ્રમાણને કારણે મોલો-મચ્છીનો સામાન્ય ઉપદ્રવ જોવા મળ્યો છે. તેમણે ખેડૂતોને મોલો-મચ્છીની દવાનો છંટકાવ કરવા અને સાવચેતીના પગલાં લેવાની ભલામણ કરી. પટેલે વધુમાં જણાવ્યું કે, ધીમે ધીમે ઠંડી વધવાથી મોલો-મચ્છીનો ઉપદ્રવ કુદરતી રીતે પણ નિયંત્રિત થશે. જોકે, જ્યાં વધુ ઉપદ્રવ હોય ત્યાં રાસાયણિક અને રૂઢિગત નિયંત્રણના પગલાં લેવા જોઈએ. તેમણે યલો સ્ટીકી ટ્રેપ (ચીટકાવવાના પેપર) નો ઉપયોગ કરવાની પણ સલાહ આપી, જેમાં 40 થી 50 ટ્રેપ ખેતરમાં અલગ-અલગ જગ્યાએ લગાવવાથી યાંત્રિક રીતે પણ જીવાત નિયંત્રિત કરી શકાય છે. પાટણ જિલ્લામાં રાયડાના વાવેતરના આંકડા (હેક્ટરમાં)
નવસારીના કમલમ ખાતે 'વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ): વી.બી.જી. રામજી અધિનિયમ, 2025' અંગે ફેલાવવામાં આવતી ભ્રમણાઓ દૂર કરવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે અધિનિયમની જોગવાઈઓ વિશે સ્પષ્ટતા કરી હતી. મંત્રી નરેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયેલો આ અધિનિયમ ગ્રામીણ વિકાસ માટે સીમાચિહ્નરૂપ છે. તેમણે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર ગ્રામીણ વિસ્તારોમાં આ કાયદા વિશે ખોટો ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. નવા અધિનિયમ હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, જે હવે વધારીને 125 દિવસ કરવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થાની જોગવાઈ વધુ કડક બનાવવામાં આવી છે. ઉપરાંત, મજૂરી ચૂકવવામાં વિલંબ થાય તો વધારાની રકમ (પેનલ્ટી સાથે) ચૂકવવાની જોગવાઈ પણ આ અધિનિયમમાં છે. મંત્રી પટેલે સ્પષ્ટતા કરી કે યોજના કેન્દ્રથી ચાલશે તેવો ભ્રમ ખોટો છે. વાસ્તવમાં, 50%થી વધુ કામો સીધા ગ્રામ પંચાયત દ્વારા જ નક્કી અને અમલી કરવામાં આવશે, જેનાથી ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા વધશે. આ યોજના હેઠળ મુખ્યત્વે ચાર પ્રકારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જળ સંરક્ષણ માટે તળાવ, ચેકડેમ અને સ્ટોપડેમનું નિર્માણ તેમજ માળખાગત સુવિધાઓ જેવી કે શાળા, હોસ્પિટલ, આંગણવાડી અને પાકા રસ્તાઓનું નિર્માણ સામેલ છે. આજીવિકા વધારવા માટે સ્વ-સહાય જૂથોની બહેનો માટે સ્કિલ સેન્ટર, શેડ અને હાટ (બજાર) ની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન માટે ડ્રેનેજ અને રિટેનિંગ વોલ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. ખેતી કામમાં મજૂરોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારને વિશેષ સત્તા આપવામાં આવી છે. વાવણી કે કાપણીના સમયે વર્ષમાં મહત્તમ 60 દિવસ સુધી યોજનાના કામો અસ્થાયી રીતે સ્થગિત કરી શકાશે, જેથી ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર વચ્ચે સંતુલન જળવાઈ રહે. ભ્રષ્ટાચાર રોકવા માટે આ યોજનામાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશબાયોમેટ્રિક હાજરી અને GIS દ્વારા કામની તપાસ.સોશિયલ ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે.પ્રશાસકીય ખર્ચ 6 થી વધારી 9 કરાયો છે જેથી સહાયકોને સમયસર માનદવેતન મળે. આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને સંગઠનના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ કાર્યકરોને આહવાન કર્યું હતું કે તેઓ ગામે-ગામ જઈને આ યોજનાની સાચી વિગતો લોકો સુધી પહોંચાડે.
સુરત શહેરના જાહેર માર્ગો પર સ્ટંટબાજોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મોટા વરાછા રિંગરોડ પર એક સગીર દ્વારા કરવામાં આવેલા જોખમી બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સ્ટંટબાજની ધરપકડ કરી છે. જોકે, સ્ટંટ કરનાર સગીર હોવાથી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનો વારો આવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના?મોટા વરાછા રિંગરોડ પર એક બાઈક સવારે ટ્રાફિક વચ્ચે પોતાનું બાઈક આગળથી ઊંચું કરી જોખમી સ્ટંટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે, આ સ્ટંટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બાઈક ચાલક સગીર વયનો, પિતા સાથે પોલીસ સ્ટેશન તેડાવ્યોવીડિયો વાયરલ થતા જ ઉત્રાણ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાઈક ચાલક હજુ સગીર વયનો (17 વર્ષનો) છે. પોલીસે તાત્કાલિક સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. પિતાની લાચારી અને અન્ય વાલીઓને શીખપોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ બદલ જાહેરમાં માફી માંગી હતી. ગળગળા સાદે પિતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર 17 વર્ષનો છે અને તેણે પરમ દિવસે મોટા વરાછા રિંગરોડ પર બાઈક સ્ટંટ કર્યા હતા. આવા સ્ટંટ કોઈએ કરવા જોઈએ નહીં કારણ કે તેનાથી બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે. હું મારા છોકરા વતી માફી માંગુ છું અને દરેકને એટલું જ કહીશ કે 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
વલસાડ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાનો વ્યાપ વધ્યો છે. કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતી આ સેવાનો લાભ લેનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2024માં કુલ 43,529 લોકોએ 108 સેવાનો લાભ લીધો હતો, જ્યારે વર્ષ 2025માં આ આંકડો વધીને 48,779 પર પહોંચ્યો છે. આમ, એક જ વર્ષમાં 5,250 વધુ દર્દીઓને સમયસર સારવાર મળી છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા ઇમરજન્સી કેસોમાં પ્રસૂતિ સંબંધિત કેસો સૌથી વધુ રહ્યા છે, જેની સંખ્યા 12,754 છે. વાહન અકસ્માતના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં 5,055 અકસ્માતના કેસો નોંધાયા હતા, જે વર્ષ 2025માં વધીને 5,705 થયા છે. આ ઉપરાંત, અન્ય ઇજાઓના કેસો 3,049 થી વધીને 3,607 પર પહોંચ્યા છે. ગંભીર બીમારી સંબંધિત કેસોમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. હૃદયરોગના કેસો 1,547 થી વધીને 1,993 થયા છે, જ્યારે શ્વાસની તકલીફના કેસો 3,219 થી વધીને 3,627 થયા છે. ઉચ્ચ તાવના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 3,030 થી વધીને 4,019 પર પહોંચ્યા છે. પેટના દુખાવાના 8,346 કેસો પણ નોંધાયા છે. પાડોશી જિલ્લાઓની સરખામણીમાં પણ વલસાડમાં 108 સેવાનો વ્યાપ વધુ જોવા મળ્યો છે. નવસારી જિલ્લામાં ઇમરજન્સી કેસો 30,640 થી વધીને 32,043 થયા છે, જ્યારે ડાંગ જિલ્લામાં 14,508 થી વધીને 16,417 કેસ નોંધાયા છે. ત્રણેય જિલ્લાઓમાં 108 સેવાનો સૌથી વધુ ઉપયોગ વલસાડ જિલ્લામાં થયો છે. વલસાડ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે કપરી પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ આપીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. ખાસ કરીને હૃદયરોગ, અકસ્માત અને પ્રસૂતિના કેસોમાં 108ની સમયસર કામગીરીને કારણે મૃત્યુદરમાં ઘટાડો લાવવામાં મદદ મળી રહી છે.
ગઢડા શહેરમાં ઘેલો નદી પરના પુલ પર RCC રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી. પુલની બિસ્માર હાલતને કારણે દૈનિક અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન પુલ પરથી પસાર થવું જોખમી બન્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઢડા નગરપાલિકા દ્વારા પુલના સુધારા માટે નિર્ણય લેવાયો હતો. નગરપાલિકાએ આશરે 10 લાખ રૂપિયાના ખર્ચે પુલ પર RCC રોડનું નિર્માણ કરાવ્યું છે. નવા RCC રોડના નિર્માણ બાદ પુલ પરથી વાહનવ્યવહાર સુગમ બન્યો છે. આનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને જર્જરિત પુલ પરથી પસાર થવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે. ગઢડાના સ્થાનિક ઉદયભાઈ ડવે જણાવ્યું હતું કે નગરપાલિકાના આ કાર્યને નગરજનો દ્વારા આવકારવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા વિકાસ કાર્યોની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમરેલીના લૂણીધાર મંદિરમાં ચોરી, CCTV:ચાંદીના છતર લઇ બે શખ્સો ફરાર, 24 કલાક બાદ પણ FIR નહીં
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના લૂણીધાર ગામમાં આવેલા સરધાર પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ છે. બુકાનીધારી તસ્કરોએ મંદિરમાંથી માતાજીને ચઢાવેલું ચાંદીનું છતર ચોરી લીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અજાણ્યા ઈસમો મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને ચાંદીનું છતર ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ જ રાત્રે ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. શિયાળાની ઋતુમાં અમરેલી જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચોરીની જાણ થતાં વડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, ચોરી થયાના 24 કલાક વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ FIR નોંધવામાં આવી નથી. માત્ર તપાસ ચાલી રહી છે. મંદિરમાં થયેલી ચોરીથી સેવકો અને દર્શનાર્થીઓમાં રોષનો માહોલ છે. ગ્રામજનો પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને તસ્કરોને ઝડપી પકડવાની માંગ કરી રહ્યા છે.
માનવતા અને સેવાના વ્યવસાય ગણાતા તબીબી ક્ષેત્ર પર ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. રાજકોટની જાણીતી ખાનગી હોસ્પિટલ HCG માં સારવાર લઈ રહેલા એક યુવાનના મોત બાદ પરિવારે ડોક્ટરો અને હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. 58 દિવસની લાંબી લડાઈ બાદ જ્યારે પિતાએ પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો, ત્યારે તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે માત્ર પૈસા કમાવા માટે તેમના દીકરાનો ભોગ લીધો છે. ત્યારે આ હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરવું જોઈએ. અકસ્માતથી શરૂ થયેલી કરુણતા રાણાવાવના સીમ વિસ્તારના વશરામભાઈ મોકરિયાનો દીકરો હિરેન, જે પોરબંદરની યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, તે 11-11 ના રોજ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે સિગ્મા સ્કૂલની બસે તેને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ હિરેનને ટૂંકી સારવાર પોરબંદર આપી વધુ સારવાર માટે રાજકોટની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પિતાને આશા હતી કે રાજકોટની મોટી હોસ્પિટલમાં તેમનો દીકરો સાજો થઈ જશે, પણ તેમને ખબર નહોતી કે અહીંથી જ તેમના દીકરાના અંતિમ દિવસોની શરૂઆત થશે. 58 દિવસની સારવાર અને 4 ઓપરેશન હિરેનના પિતા વશરામભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અમે મારા દીકરાને 55 કિલોના વજન સાથે અહીં લાવ્યા હતા અને આજે તેનું પીએમ કરાવીને 25 કિલોનો લઈને જઈ રહ્યો છું. તેમણે આક્ષેપ કર્યો કે 58 દિવસ સુધી હોસ્પિટલે તેમને અંધારામાં રાખ્યા. આ દરમિયાન હિરેનના અલગ-અલગ 4 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ જ્યારે તેને જનરલ વોર્ડમાં ખસેડાયો, ત્યારે એક ઈન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત અચાનક લથડી હતી અને ફરી ICUમાં ખસેડવો પડ્યો હતો. વીમાના નામે રૂપિયા પડાવવાનો ખેલ? પરિવારનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે હિરેન પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ (વીમો) હોવાથી હોસ્પિટલે જાણી જોઈને તેને લાંબો સમય દાખલ રાખ્યો હતો. પિતાના જણાવ્યા મુજબ, હોસ્પિટલ તંત્ર માત્ર રૂપિયા પડાવવામાં જ રસ ધરાવતું હતું અને સાચી હકીકત પરિવારથી છુપાવવામાં આવી હતી. વસરામભાઈએ ડો. લાલચેતા સામે રોષ ઠાલવતા કહ્યું કે, ડો. લાલચેતા ડોક્ટર નહીં પણ કસાઈ છે, જેમણે મારા 24 વર્ષના દીકરાને મારી નાખ્યો છે. ન્યાયની માંગ અને પોલીસ તપાસ આ મામલે પરિવારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી આપી છે અને હોસ્પિટલનાં જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પિતાની માંગ છે કે આ હોસ્પિટલને સીલ મારવામાં આવે અને ડોક્ટરનું લાઈસન્સ રદ કરવામાં આવે જેથી બીજા કોઈ પિતાએ પોતાનો દીકરો ન ગુમાવવો પડે. હાલમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ફોરેન્સિક પીએમ (PM) કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ મોતના સાચા કારણો બહાર આવશે.
અમદાવાદ શહેરના ન્યૂ મણીનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન ખોદવાની કામગીરી દરમિયાન માટી ધસી પડતા એક મજૂર અંદર પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો. તે પહેલાં જ મજૂરનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના સમયે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હાજર નહોતાઅમદાવાદમાં ન્યૂ મણીનગરમાં રાત્રિના સમયે ખોદવાની કામગીરી ચાલુ હતી ત્યારે કોર્પોરેશનના કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરના વ્યક્તિ હાજર નહોતા. કોઈપણ પ્રકારના બેરિકેડ અને સલામતીના સાધનો વિના કામગીરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. જે દરમિયાન એક શ્રમિક માટી ધસી પડતા અંદર પડ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. AMC અધિકારીએ દુર્ઘટનાની માહિતી મેળવવાનો પ્રયાસ પણ ન કર્યોAMCના પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને મજૂરનું કયા કારણસર મૃત્યુ થયું, કેવી રીતે આ દુર્ઘટના બની આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી નથી. તેમણે સવારે ઘટનાસ્થળ ઉપર જઈ અને કેવી રીતે આ દુર્ઘટના બની તે અંગેની માહિતી પણ મેળવવાનો પ્રયાસ કર્યો નથી. એક મજૂરનું મૃત્યુ થયું હોવા છતાં પણ અધિકારીઓને આ બાબતે ગંભીરતા નથી. જેથી સ્પષ્ટ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી તેને બચાવવા માટે અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી નથી. માટી અચાનક ધસી પડતાં શ્રમિક નીચે દટાયો હતોમળતી માહિતી મુજબ, શહેરના ન્યૂ મણીનગર પાસે કર્ણાવતી રિવેરા ફ્લેટ નજીક જેસીબી મશીનથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી રાત્રે 10 વાગ્યાની આજુબાજુ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજૂર ડ્રેનેજ લાઈનની કામગીરી માટે અંદર ઉતર્યો હતો. તે દરમિયાન અચાનક જ માટી ધસી પડી હતી અને મજૂર તેની નીચે દટાતા માથામાં ઇજાઓ થઈ હતી. સ્થળ પર હાજર અન્ય મજૂર અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મજૂરને બહાર કાઢ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ઇમિગ્રેશન કન્સલ્ટન્સી કંપનીએ ઓસ્ટ્રિયા, નોર્વે અને ફિનલેન્ડમાં બે વર્ષના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 13થી વધુ લોકો પાસેથી 29.77 લાખ રૂપિયા પડાવી બનાવટી જોબ ઓફર લેટર આપી છેતરપિંડી આચરી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રહેતા દિનેશભાઈ દીપકભાઈ શર્મા (ઉં.વ.40)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ મેનપાવર સપ્લાયનો વ્યવસાય કરે છે અને વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છુક ગ્રાહકોના વિઝા-ટિકિટનું કામ અન્ય એજન્ટો પાસે કરાવે છે. નવેમ્બર-2024માં તેઓ ગેંડા સર્કલ પાસે આવેલી 'વેસ્પર ગ્લોબલ પ્રા. લિ.' નામની ઓફિસમાં ગયા હતા. અહીં તેમને કંપનીના પ્રોપ્રાઇટર પૂજા રાજ પ્રભાકર (આહુજા/સાલુજા) મળ્યા હતા, જેઓએ પોતાના પતિ રાજ પ્રભાકરને કંપનીના ડિરેક્ટર હોવાનું જણાવ્યું હતું. પૂજાએ ઓસ્ટ્રિયા, નોર્વે અને ફિનલેન્ડમાં બે વર્ષના વર્ક પરમિટ વિઝા ચારથી છ મહિનામાં કરી આપવાની ખાતરી આપી હતી અને પ્રતિ વ્યક્તિ 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પૂજા પર વિશ્વાસ કરીને દિનેશભાઈએ પોતાના 12 ગ્રાહકોની ફાઇલો સોંપી અને ટુકડે ટુકડે કુલ 22.67 લાખ રૂપિયા પૂજાના કંપનીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. વધુમાં તેમના મિત્ર સૈયદ જુનેદ અલી ઇકરામઅલી (રહે. ગોઠડા, તા. સાવલી)ના ગ્રાહકો વતી પણ 7.10 લાખ રૂપિયા આપ્યા હતા. આમ કુલ રૂ. 29.77 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા. પૂજાએ ગ્રાહકોને નોર્વે અને ઓસ્ટ્રિયાના નામે જોબ ઓફર લેટર આપ્યા હતા, જે ગ્રાહકોએ મુંબઈની એમ્બેસીમાં વેરિફિકેશન માટે રજૂ કરતાં તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વિઝા અરજી નામંજૂર થઈ હતી. આ બાબતની જાણ કરતાં પૂજાએ એક મહિનામાં પૈસા પરત કરવાનું કહ્યું હતું, પરંતુ ઓફિસે તાળું મારી દીધું અને તેઓ ઇટલી ગયા હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. આ મામલે પૂજા રાજ પ્રભાકર અને તેના પતિ રાજ પ્રભાકર સામે ગોરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
NSUI નું 'ડ્રગ્સ ફ્રી કેમ્પસ' અભિયાન:સમગ્ર ગુજરાતની કોલેજોમાં શપથ લેવડાવવામાં આવી
ગુજરાત NSUI દ્વારા રાજ્યભરમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત NSUIની ટીમ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહી છે. આ યાત્રા આજે જામનગર પહોંચી હતી, જ્યાં અનેક કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજ કેમ્પસને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ મુક્ત કેમ્પસના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. જામનગરમાં યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ નાટકો અને ભાષણો દ્વારા ડ્રગ્સ મુક્ત સમાજ માટે પ્રયાસો કરવાની વાત કરી હતી. જામનગરમાં આ યાત્રાની શરૂઆત એચ.જે. દોશી કોલેજ અને એ.કે. દોશી કોલેજથી થઈ હતી. ત્યારબાદ હરિયા કોલેજ, મહિલા કોલેજ કેમ્પસ, ડી.કે.વી. કોલેજ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ, પંચવટી કોલેજ, એસ.વી.ઈ.ટી. કોલેજ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ અને વિદ્યાસાગર કોલેજ સહિતની વિવિધ કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જામનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અને ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાતના મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડો. તોસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ અને દેવરાજભાઈ ગોહિલ સહિતના આગેવાનોની આગેવાની હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
મકરસંક્રાંતિના તહેવારને હવે એક અઠવાડિયું જ બાકી છે, ત્યારે રાજકોટની સદર બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ વખતે ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદી, ધૂરંધર ફિલ્મ, કાપડ, બાજ, છત્રી અને રોકેટ સહિતની પતંગ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ વખતે 10 ટકા જેટલો ભાવ વધારો થતાં પતંગનો પંજો રૂ. 20થી રૂ. 200 તો ફિરકી રૂ. 70થી રૂ. 1500માં મળી રહી છે. મકરસંક્રાંતિની ઉજવણી માટે રંગીલું રાજકોટ પ્રખ્યાત હોવાથી અહીં US અને મુંબઈથી પતંગરસિકો આવી પહોંચ્યા છે. પતંગરસિકો હરીફાઈ માટે ઉડાવતા હોય તેવી 5 ફૂટની પતંગ ઉપલબ્ધરાજકોટમાં 4 દાયકા જૂની સદર બજારમાં 500થી વધુ વેપારીઓને ત્યાં હાલ ખરીદીનો માહોલ જામ્યો છે. અહીંની પ્રખ્યાત પતંગ બજારના વેપારી મહેન્દ્ર રેલવાણીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિને લઈને દર વર્ષે છેલ્લા દિવસોમાં ખરીદી થતી હોય છે, પરંતુ આ વખતે વહેલી ખરીદી થઈ રહી છે. આ વખતે પતંગમાં ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીના ફોટાવાળી, ધુરંધર ફિલ્મની સાથે કાપડની પતંગ પણ બજારમાં આવી ચૂકી છે. આ ઉપરાંત બાજ, નાની છત્રી અને રોકેટ સહિતની વેરાઈટી છે. બરેલીની પતંગનો ક્રેઝ આ વખતે વધારે જોવા મળી રહ્યો છે. પતંગરસિકો હરીફાઈ માટે ઉડાવતા હોય તેવી 5 ફૂટની પતંગ પણ અહીં ઉપલબ્ધ છે. રો-મટીરીયલનો ભાવ વધતાં 8 ટકા જેટલો વધારો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂ.20થી રૂ.200 સુધીના પતંગના પંજાનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે દોરામાં શિવમ, RD અને ગજાનનની દોરી મળી રહી છે. ફિરકીની કિંમત રૂ.70થી લઈ રૂ. 1500 સુધીની છે. અમારા પતંગ અમદાવાદ અને નડિયાદ જ્યારે દોરી નડિયાદથી એક્સપોર્ટ થાય છે. આ વખતે ભાવમાં 8 ટકા જેટલો વધારો થયો છે કારણકે રો-મટીરીયલના ભાવ વધ્યા છે. સદર બજારમાં 50 તો રાજકોટમાં અંદાજે 500થી વધુ દુકાન હશે કે જ્યાં વેપારીઓ દ્વારા પતંગ અને દોરાનું વેચાણ કરવામાં આવતું હશે. 'મુંબઈમાં પણ ઉતરાયણ થાય છે, પણ ગુજરાતની તો વાત જ અલગ'મુંબઈથી રાજકોટ મકરસંક્રાંતિની ઉજવણી માટે આવેલા રાખી ચોકસીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિની ઉજવણી ગુજરાતના રાજકોટમાં ખૂબ જ સારી રીતે થાય છે જેથી અમે અહીં આવ્યા છીએ. મુંબઈમાં પણ ઉતરાયણની ઉજવણી થાય છે, પરંતુ ગુજરાતની વાત તો અલગ જ છે. અહીં સુરત અને રાજકોટમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેથી અમે અહીં પતંગ ઉડાવી આ તહેવારનો આનંદ માણીશું.
સુરતના સરથાણા વિસ્તારમાંથી ગત 28 નવેમ્બર 2025ના રોજ 17 વર્ષીય પાટીદાર સમાજની સગીરાના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આરોપી અરવિંદ પંચાસરા પોતાની બોલેરો પીકઅપમાં સગીરાને લઈને ફરાર થઈ ગયો હતો. પાટીદાર સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારનાર બે સંતાનોના પિતા એવા નરાધમ આરોપીને પકડવા માટે પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીએ ચતુરાઈ વાપરી એક માછીમારના ફોનનો ઉપયોગ કરીને સંપર્ક કર્યો જે સુરત પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે આરોપીનું લોકેશન શોધીને 11 ફૂટ ઊંચી દીવાલ કૂદીને તેને દબોચી લીધો હતો. સુરત પોલીસના ઝોન 1 DCP અને PIના સતત માર્ગદર્શન હેઠળ PSI શીતલ ચૌધરી અને તેમની ટીમે જે રીતે આરોપીને પકડવાનું ઓપરેશન પાર પાડ્યું છે. શું હતી સમગ્ર ઘટના?26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા, જે પોતે પરિણીત છે અને બે સંતાનોનો પિતા છે, તેણે 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરી ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાણોદરમાં મોબાઈલ બંધ કર્યો ને સગીરાને દ્વારકા લઈ ગયો26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા અત્યંત શાતિર હતો. પોતાના બોલેરો પિક અપમાં સુરતથી સગીરાને લઈને તે પહેલા સાણોદર ગયો, ત્યાંથી અકળા અને ત્યારબાદ દ્વારકા દર્શન ફરવા ગયો. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે સાણોદરથી જ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો અને સિમ કાર્ડ તોડી નાખ્યું હતું, જેથી પોલીસ તેને ટ્રેક ન કરી શકે. સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુંતપાસ દરમિયાન પોલીસની ટીમે બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર જેવા અનેક જિલ્લાઓમાં ધામા નાખ્યા હતા. સતત 3 દિવસ સુધી ઊંઘ્યા વગર અને જમવાની પણ પરવા કર્યા વગર ટીમે 2500 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો. આરોપી મજૂરી કામ કરીને પોતાની ઓળખ છુપાવતો હતો અને સગીરાને પોતાની પત્ની તરીકે ઓળખાવી અલગ-અલગ લોકેશન પર રાખતો હતો. આ દરમિયાન સગીરા પર દુષ્કર્મ પણ આચર્યું હતું. પોરબંદરના માછીમારના ફોનથી સંપર્ક કર્યો ને પોલીસને કડી મળીટેકનોલોજી મોબાઈલ બંધ હોવાને કારણે સાથ આપતી નહોતી, ત્યારે PSI શીતલ ચૌધરીએ CDRનું ઊંડું એનાલિસિસ કર્યું. આરોપીએ પોરબંદરમાં એક અજાણ્યા માછીમારના ફોનથી સંપર્ક કર્યો હતો, જે પોલીસ માટે એક મહત્ત્વની કડી બની. પોલીસે પોરબંદરની તમામ કંપનીઓમાં આરોપીનો ફોટો બતાવી તપાસ કરી, પણ સફળતા ન મળી. અંતે, પોલીસે આરોપીના પરિવારજનો અને મિત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માસીની પૂછપરછમાં માંડવા ગામનું નામ સામે આવ્યુંઆરોપીની માતાની સઘન પૂછપરછ બાદ જાણવા મળ્યું કે તે ઢસામાં તેની માસીના ઘરે હોઈ શકે છે. માસીની કડક પૂછપરછમાં માંડવા ગામનું નામ સામે આવ્યું. માંડવા ગામમાં તબેલા અને વાડીઓમાં છૂટક મજૂરી કરતા આ આરોપીને પોલીસે અંતે રાત્રે ઊંઘતો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો. પોલીસે 11 ફૂટની દીવાલ કૂદીને આરોપીને દબોચ્યોમાંડવા ગામમાં જે ઘરમાં આરોપી હતો તેનો દરવાજો ખખડાવ્યો પણ ન ખોલતા પોલીસ જવાન ચેતન 11 ફૂટની દીવાલ કૂદીને અંદર ગયા અને દરવાજો ખોલી આરોપી અને સગીરાને ઊંઘમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા. બે સંતાનોનો પિતાએ સગીરાનું અપહરણ કર્યુંઆ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી અરવિંદ પંચાસરા પોતે બે સંતાનોનો પિતા છે. એક પિતા હોવા છતાં તેણે એક સગીરાનું અપહરણ કર્યું હતું. તેની માનસિકતા તેના વાહન પરથી પણ છતી થતી હતી. તેની પીકઅપ ગાડીની પાછળ તેણે લખાવ્યું હતું: છેને તારા જેવી ઢીંગલી. આ વાક્ય તેની માનસિકતા અને સગીરા પ્રત્યેના તેના અભિગમને સ્પષ્ટ કરતું હતું. દીકરીને હેમખેમ પાછી લાવવા અલગ અલગ કંપનીઓમાં અને વાડીઓમાં શોધખોળઆ ઓપરેશનની સફળતા પાછળ PSI શીતલ ચૌધરી પર DCP ઝોન 1 આલોક કુમારનો અતૂટ વિશ્વાસ અને PI કરપડાનું સતત પ્રોત્સાહન હતું. 31 ડિસેમ્બરના રોજ જ્યારે આખી દુનિયા ઉત્સવ મનાવી રહી હતી, ત્યારે સરથાણા પોલીસની ટીમ આ દીકરીને હેમખેમ પાછી લાવવા માટે અલગ અલગ કંપનીઓમાં અને વાડીઓમાં ખાખાંખોળા કરી રહી હતી. પાટીદાર અગ્રણીઓ અને સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી અને રી-કન્સ્ટ્રક્શન માટે તેને ઘટનાસ્થળે લાવવામાં આવ્યો, ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. લોકોએ ખાખી વર્દીધારીઓ પર ફૂલોની વર્ષા કરી પોલીસ પ્રશાસન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ‘આરોપીને પકડવા 2500 કિમી જેવું ફર્યા છીએ, પાંચ જિલ્લાઓ ફર્યા છીએ’PSI શીતલ ચૌધરીએ સમગ્ર ઓપરેશન અંગે જણાવ્યું કે, આરોપી પકડવા માટે કોઈ લિંક નહોતી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની માહિતી મંગાવી હતી, છતાંય એમાંથી કોઈ આપણને માહિતી નથી મળતી હતી. પછી સીડીઆર સતત એનાલિસિસ કરીને સૌથી વધારે કોની જોડે વાત કરે છે, એ તમામ એના મિત્રોને મળ્યા, એના ગામ છે ને એના વતનમાં જઈને એના ભાઈને મળ્યા, એના પિતાજીને મળ્યા, તમામને મળીને બધી માહિતી એકઠી કરી અને પછી અમે આરોપી સુધી પહોંચ્યા છીએ. અને આ સમય દરમિયાન અમે ટોટલ 2500 કિલોમીટર જેવું ફર્યા છીએ, પાંચ જિલ્લાઓ ફર્યા છીએ. જેમાં બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, રાજકોટ, ગોંડલ - સતત જિલ્લાઓમાં ફરીને આ આરોપી સુધી અમે પહોંચ્યા છીએ. ‘ત્રણ દિવસથી અમારી ઊંઘ નથી થઈ, અમે જમતાય નહોતા’અમે કોઈ જગ્યાએ અમે રોકાયા નથી. સતત અમે ફર્યા જ કર્યા છીએ. અમારા ત્રણ દિવસથી અમારી ઊંઘ નથી થઈ અને જમવાનું તો અમને ટાઈમ પર અમે જમતાય નહોતા. અમે ખાલી ચા અને નાસ્તા ઉપર જ આ દિવસો કાઢ્યા છે અને આ સક્સેસ સુધી પહોંચ્યા છીએ. ‘અમારી ગાડી પંચર પડી હતી’છોકરી શરૂઆતમાં જેના ઘરે રોકાઈ હતી, એ ઘરે અમે જ્યારે જતા હતા ત્યારે ખેતર હતું, વાડી હતી, ત્યાં રસ્તો ખૂબ ખરાબ હતો અને એવા સમયે અમારે ઘર નજીક પહોંચ્યા એ જ સમયે અમારી ગાડી પંચર પડી હતી. પછી અમે સ્થાનિક બાઇક ભાઈની બાઇક માંગી અને એ બાઇક પર અમારા એએસઆઈ ચેતનભાઈ જઈ અને પછી એ જે એના મિત્ર છે, તેને અમે લઈને આવ્યા હતા. અમે દરવાજો ખખડાવતા હતા ત્યારે અમને કોઈ દરવાજો કોઈ ખુલતું નહીં જ્યારે આરોપી સુધી પહોંચી ગયા ત્યારે એના ઘરે જ્યારે પહોંચ્યા, અમે દરવાજો ખખડાવતા હતા ત્યારે અમને કોઈ દરવાજો કોઈ ખુલતું નહીં હતું. પહેલા તો અમે એ નિરીક્ષણ કર્યું કે એ ભાગવાનો જો કદાચ એ ભાગી જાય તો કયા કેટલા રસ્તા છે? પણ એનો મેઈન દરવાજો જ હતો, પાછળથી કોઈ રસ્તો નહીં હતો જેથી અમારા એએસઆઈ ચેતનભાઈ છે, તેઓ 11 ફૂટ દીવાલ ઉપર ચડ્યા અને પછી ઉતર્યા, દરવાજો ખોલ્યો અને પછી અમે આરોપીને પકડી પાડ્યા. જ્યારે આરોપીને પકડ્યો ત્યારે તો અમને પહેલા તો ખૂબ ખુશી થઈ કે અમે સક્સેસ આટલા પાંચ દિવસની અમારી જે મહેનત હતી, પાંચ જિલ્લાઓ ફર્યા, 2500 કિલોમીટરની સફર હતી, એ સક્સેસ ગઈ એટલે એ અમારા માટે ખૂબ જ એની ખુશી થઈ હતી 3 પોલીસ જવાને ઓપરેશન પાર પાડ્યુંચેતનભાઈ અને ડ્રાઈવર એમ ત્રણ જણા સતત ફરતા હતા. ઝોન-1 ડીસીપી અને અમારા પીઆઈ સતત અમારા સંપર્કમાં હતા. ઝોન-1 ડીસીપી અમને માર્ગદર્શન આપતા રહેતા હતા અને કહેતા હતા કે ‘ચૌધરી આપ કર શકોગે, આપસે હો જાયેગા, ટ્રાય કરીએ. જ્યારે સર આવું કહેતા ત્યારે અમને એક ઉત્સાહ આવતો હતો કે સરને આટલો બધો વિશ્વાસ છે એટલે આપણે આ તો શોધવું જ પડશે. 'તપાસ કરતા ખબર પડી કે માંડવા નામના ગામમાં રહે છે'જ્યારે અમે પોરબંદર પહોંચ્યા ત્યારે આજુબાજુની બધી કંપનીઓમાં ફોટા બતાવીને તપાસ કરતા હતા, ત્યાં બધું બ્લેન્ક થઈ ગયું હતું કે હવે આગળ શું તપાસ કરવી. ફરી અમે સીડીઆર એનાલિસિસ કર્યા અને ફરી એક લિંક મળી. પીઆઈને ફોન કર્યો અને કીધું કે રામધણી છે, ત્યાંથી એના મમ્મીને પૂછપરછ કરે તો કઈક માહિતી મળે એમ છે. ત્યાં પોલીસે એના મમ્મીની પૂછપરછ કરી અને એમણે જણાવ્યું કે ઢસામાં એના માસી રહે છે ત્યાં હોઈ શકે. જેથી અમે તાત્કાલિક પોરબંદરથી નીકળ્યા, 3 કલાકમાં ઢસા પહોંચી ગયા હતા. ત્યાંથી એના માસીનું ઘર મળ્યું. તપાસ કરતા ખબર પડી કે માંડવા નામના ગામમાં રહે છે, પછી અમે ત્યાં ગયા અને એમને લઈને આવ્યા.
વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર અને વિદેશી દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હાથ ધરાયેલા 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે જુગાર રમતા 8 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રોકડ રૂપિયા 33,580 તથા પત્તા-પાના જપ્ત કર્યા છે. આ અંગે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જૂગારીઓને રેડ કરીને રંગેહાથ ઝડપ્યાએલસીબી ટીમ ડભોઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ અંગેની બાતમી મળી કે સુરજફળીયા તલાવ કિનારે આવેલા શૌચાલય પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ જાહેરમાં પત્તા-પાના વડે પૈસાના હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક રેડ કરી અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા 8ને ઝડપીને 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યોઆ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપીઓમાં (1) ફારૂક હનીફભાઈ મન્સુરી, (2) શબ્બીર ઇકબાઈલભાઈ ઘાંચી, (3) લતીફભાઇ અબ્દુલકાદર પ્યારજી, (4) અનીલભાઈ રાજુભાઇ વસાવા, (5) ઇશ્વરભાઈ પુનમભાઈ વાઘરી, (6) અરૂણભાઈ રાવજીભાઈ તડવી, (7) મહેશભાઈ રમેશભાઈ વાઘરી અને (8) સુરેશભાઈ મગનભાઈ વાઘરીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ડભોઈના રહેવાસી છે. તેમની અંગ ઝડતીમાંથી રોકડ રૂ. 23,450 અને દાવ પરથી રોકડ રૂ. 10,130 મળી આવ્યા છે, જેની કુલ રકમ રૂ. 33,580 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે દેશ વિરોધી તત્વો દ્વારા નકલી નોટો છાપવામાં આવે છે અને તેને વિવિધ પ્રકારે માર્કેટમાં ઘુસાડવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરની એક્સિસ બેંકની નિઝામપુરા શાખામાં કેશ ડિપોઝિટ મશીન (CDM)માં જમા કરાયેલી રૂ.500ની 17 નોટો નકલી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બેંકના અધિકારીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે ગ્રાહક રાજપુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક્સિસ બેંકની સુભાનપુરા શાખાના બલ્ક કેશ પોઈન્ટ ઇન્ચાર્જ સમીરકુમાર વિનોદકુમાર પંચોલીની ફરિયાદમાં અનુસાર તા. 1 જાન્યુઆરીના રાત્રે 8:07 વાગ્યે નિઝામપુરા શાખાના CDMમાં રાજ પુરોહિત વિક્રમસિંહ ઇંદ્રસિંહ (રહે. સ્વામિનારાયણ નગર, નિઝામપુરા, છાણી રોડ, વડોદરા)એ રૂ. 44,500ની રકમ જમા કરી હતી. જેમાંથી ત્રણ નોટો ખરાબ હોવાને કારણે મશીનમાંથી પરત આવી ગઈ હતી, જ્યારે રૂ. 500ની 17 નોટો મશીનના URJB (Unfit/Reject Box)માં જમા થઈ ગઈ હતી. પરિણામે, ગ્રાહકના સેવિંગ્સ માત્ર 34,500 રૂપિયા જ જમા થયા હતા. બેંકના વેન્ડર હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રા. લિ.ના કર્મચારી જૈનીલ શાહે તા. 3 જાન્યુઆરીના સવારે CDMમાંથી કેશ કાઢી ત્યારે આ નકલી નોટો મળી આવી હતી. તેઓએ આ નોટોને સુભાનપુરા શાખામાં પહોંચાડી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, આ નોટો પર 'કાઉન્ટરફિટ બેંક નોટ ઇમ્પાઉન્ડેડ'નો સ્ટેમ્પ મારવામાં આવ્યો છે અને તેના પર બેંક અધિકારીઓની સહી તથા તારીખ લખેલી છે. નોટો પર હિન્દી અને અંગ્રેજીમાં 'ભારતીય રિઝર્વ બેંક', 'પાંચ સો રૂપિયા' અને 'રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા' જેવા શબ્દો લખેલા છે, પરંતુ તે નકલી હોવાનું મશીને શોધી કાઢ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને બેંકના કર્મચારીઓ તથા અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે. RBIના નિયમો અનુસાર, 5 કરતાં વધુ નકલી નોટોના કેસમાં કાયદેસરની કાર્યવાહી ફરજિયાત છે. પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
ભરૂચ સાયબર ક્રાઈમના ત્રણ જવાન સન્માનિત:રાજ્યના DGP દ્વારા 'સાયબર કોપ ઓફ ધ મન્થ' એવોર્ડ એનાયત
ભરૂચ સાયબર ક્રાઈમ ટીમના ત્રણ પોલીસકર્મીઓને 'સાયબર કોપ ઓફ ધ મન્થ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવના હસ્તે તેમને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી અને નોંધપાત્ર સિદ્ધિ બદલ આ સન્માન અપાયું છે. આ એવોર્ડ ઈ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા સાયબર ગુનાઓ ઉકેલવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને પોલીસકર્મીઓને આપવામાં આવે છે.ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને શાખાઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને આ સન્માન અપાય છે. આ વખતે ભરૂચ સાયબર ક્રાઈમ ટીમે રાજ્યભરમાં પોતાની અસરકારક કામગીરીથી વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજની સૂચના અને સાયબર ક્રાઈમના પી.આઈ. વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ, ટીમે અદ્યતન ટેકનિક અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેમણે જામતારા (ઝારખંડ) સાથે સંકળાયેલા એક સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત,ટીમે અનેક સાયબર ગુનાઓના ભેદ ઉકેલી સાયબર અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઉત્તમ કામગીરી માટે ભરૂચ સાયબર ક્રાઈમના પોલીસકર્મીઓ મલ્કેશ ગોહિલ, સુહેલ રાજ અને રમેશ પરમારને 'સાયબર કોપ એવોર્ડ'થી સન્માનિત કરાયા છે. ભરૂચ સાયબર ક્રાઈમની ટીમ સાયબર ગુનેગારો સામે સતત લડત આપી રહી છે. આ સન્માન ભરૂચ પોલીસની કાર્યક્ષમતા, પ્રતિબદ્ધતા અને ટેકનોલોજી આધારિત તપાસનું પ્રતિક છે.
વડોદરામાં સાયબર ઠગોએ ફરી એક વાર નિવૃત્ત સિનિયર સિટીઝનને નિશાન બનાવ્યા છે. બેંક ઑફ ઇન્ડિયા તરફથી સિનિયર ઓફિસરને લાઇફટાઇમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર હોવાનું કહીને બેંક ઑફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા 84 વર્ષીય સિનિયર સિટીઝન પાસેથી સાયબર ઠગોએ 25.48 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી છે. આ મામલે પીડિતે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના સિનિયર સિટીઝનની ફરિયાદ મુજબ, ગત તા. 11 ઓગસ્ટ 2025ના રોજ તેમના મોબાઇલ પર એક એસએમએસ આવ્યો હતો, જેમાં બેંક ઑફ ઇન્ડિયા તરફથી સિનિયર ઑફિસરને લાઇફટાઇમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર હોવાનું જણાવાયું હતું. કાર્ડની લિમિટ રૂ. 5 લાખ હોવાનું કહેવામાં આવ્યું હતું અને રસ ધરાવતા હોવ તો મેસેજમાં આપેલા YES ઓપ્શનને ટિક કરીને રિપ્લાય કરવાનું કહ્યું હતું. સિનિયર સિટીઝને આ ઓફરમાં રસ દાખવતાં YESનો રિપ્લાય કર્યો હતો. ત્યારબાદ તા. 13 ઓગસ્ટ 2025ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર ફોન આવ્યો હતો. કૉલરે પોતાને બેંકનો અધિકારી ગણાવી ક્રેડિટ કાર્ડની પ્રોસેસિંગ માટે એક લિંક મોકલવાનું કહ્યું હતું અને તેમાં જરૂરી વિગતો ભરવાની સૂચના આપી હતી. આ કૉલરે વૉટ્સએપ પર BOI CREDIT VERIFICATION.apk નામની એક લિંક મોકલી હતી. પીડિતે આ લિંક ઓપન કરીને કૉલરની સૂચના મુજબ પોતાના બેંક ઑફ ઇન્ડિયાના ડેબિટ કાર્ડની વિગતો તેમજ મોબાઇલ એપ્લિકેશનનો પાસવર્ડ સબમિટ કરી દીધો હતો. થોડી જ વારમાં તેમના મોબાઇલ પર અનેક OTP આવવા લાગ્યા અને બેંક ખાતામાંથી રકમ ઑનલાઇન ટ્રાન્સફર થવાના મેસેજ આવવા લાગ્યા. આ જોઈને પીડિતે તુરંત બેંકના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરીને ડેબિટ કાર્ડ બ્લૉક કરાવ્યું હતું. બીજા દિવસે ખાતાની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન દ્વારા કુલ રૂ. 25.48 લાખ રૂપિયાની રકમ ઠગોએ ઉપાડી લીધી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈ અજાણ્યા મેસેજ કે લિંક પર ક્લિક ન કરવું અને બેંક સંબંધિત કોઈપણ વિગતો ફોન કે ઑનલાઇન શેર ન કરવી.
સોમનાથ એજ્યુકેશન સોસાયટી, વેરાવળ સંચાલિત સી. પી. ચોક્સી આર્ટ્સ અને પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની ખાસ વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ ચાંડુવાવ મુકામે ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો. આ ખાસ વાર્ષિક શિબિર તા. 06/01/2025 થી 12/01/2025 દરમ્યાન યોજાનાર છે, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સમાજપ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ઉદ્ઘાટન સમારોહ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ,ચાંડુવાવ ખાતે આવેલ સરસ્વતી ઉપાસના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉદ્ઘાટક તથા અતિથિવિશેષ તરીકે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, સોમનાથ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સુરેશભાઈ જે. કંપાણી, સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ચાંડુવાવના ટ્રસ્ટી અમુભાઈ જે. સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસિલાબેન વાઢેર, ચાંડુવાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નશિતાબેન એચ. સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ચોક્સી કોલેજના આચાર્ય પ્રો.ડૉ.જીગર આર.રાવલ, NSS કાર્યક્રમ અધિકારી પ્રો.ડૉ. એ.એમ.ચોચા, બાલ અને મહિલા વિકાસ વિભાગના અધિકારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ, સરકારી સાયન્સ કોલેજ, મહિલા કોલેજ, સોનેચા કોલેજના આચાર્યો તથા અધ્યાપકગણ અને ઇન્ડિયન રેયોનના CSR કોઓર્ડિનેટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ચેરમેન સુરેશભાઈ કંપાણી તથા આચાર્ય પ્રો. ડૉ. જીગર રાવલે સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સુરક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. RFO રસલાબેન વાઢેર અને હમીરભાઇ સોલંકીએ NSSના ઉદ્દેશો અને સમાજમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ચોક્સી કોલેજના NSS સ્વયંસેવકોએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યું હોવાનું ગૌરવપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો. આ પ્રસંગે આવા પ્રતિભાશાળી સ્વયંસેવકોને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. NSS કાર્યક્રમ અધિકારી પ્રો. ડૉ. એ. એમ. ચોચાએ શિબિર દરમિયાન ચાંડુવાવ ગામ ખાતે હાથ ધરવામાં આવનાર સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ તથા જનજાગૃતિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમની સફળતા માટે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ચાંડુવાવ ગ્રામ પંચાયત, ચોક્સી કોલેજના સ્ટાફ, NSS સ્વયંસેવકો તથા સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સહકાર આપ્યો હતો. સમગ્ર NSS ખાસ વાર્ષિક શિબિરનું આયોજન અને વ્યવસ્થાપન NSS કાર્યક્રમ અધિકારી પ્રો. ડૉ. એ. એમ. ચોચાના માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે સંપન્ન થયું. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું અને સમગ્ર સમારોહ સૌહાર્દપૂર્ણ, અનુશાસિત અને પ્રેરણાદાયક વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
પાટણના નામચીન મિલકતધારકોનો 4.5 કરોડનો વેરો બાકી:કારોબારી બેઠકમાં વસૂલાત માટે કાર્યવાહીના આદેશ
પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં ડો. નરેશ દવેએ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. તેમણે પાલિકાના અધિકારીઓને જ ઉપસ્થિત રાખવા અને નાગરિકોના કામો ન અટકે તે માટે નાના કર્મચારીઓને તેમની ફરજ પર પરત મોકલવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાટણ શહેરના નામાંકિત મિલકતધારકો પાસેથી બાકી રહેલા સાડા ચાર કરોડ રૂપિયાના વેરાની વસૂલાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડો. દવેએ જણાવ્યું કે પ્રાદેશિક કમિશનરની વારંવારની સૂચનાઓ છતાં પાટણ નગરપાલિકાએ આ કામગીરી કરી નથી. તેમણે નાના બાકીદારોને બદલે મોટા બાકીદારો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં અન્ય નાગરિક સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. શહેરમાં નવા શૌચાલયો અને મુતરડીઓ બનાવવામાં ન આવે તો તેનું સમારકામ કરાવવા સૂચન કરાયું, જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી મહિલાઓને સુવિધા મળી રહે. આ ઉપરાંત, બાકી રહેલા નાગરિકોને ડસ્ટબિન ક્યારે અપાશે તેવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન સામે સરકારી જગ્યામાં ચાલતા રસોડાનું ભાડું વસૂલવામાં આવતું ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની જગ્યાઓમાં ધંધો કરતા લોકો ભાડાપેટે કંઈ આપતા ન હોવાનું પણ જણાવાયું. ઉત્તરાયણમાં જગ્યાઓ ભાડે અપાઈ હોવા છતાં, રસ્તા પૈકીની જગ્યા ન ફાળવવાના નિર્ણય છતાં કેટલાક લોકો આવી જગ્યાઓમાં ધંધો કરી રહ્યા છે, જે ભેદભાવ દર્શાવે છે. શૈલેષ પટેલે વેરા ન ભરતી હોય તેવી મિલકતોને સીલ મારવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું કે, પતંગ અને દોરીના સ્ટોલ માટે ફાળવેલી જગ્યાઓમાંથી લાખ રૂપિયાની આવક થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, પાટણના ચતુર્ભૂજ બાગનું સંચાલન મહિલા હાઉસિંગ ટ્રસ્ટને સોંપવામાં આવશે, પરંતુ તેની માલિકી નગરપાલિકાની જ રહેશે. ચીફ ઓફિસરે આશા વ્યક્ત કરી કે બગીચાની સ્થિતિ સુધરશે અને સારું વાતાવરણ બનશે તો વધુમાં વધુ લોકો ત્યાં આવશે, જેનાથી અસામાજિક તત્વો અને ન્યુસન્સ આપોઆપ ઘટશે. આ બગીચાની સારસંભાળનો ખર્ચ નગરપાલિકા પર નહીં પડે. જો એજન્સી સારું કામ નહીં કરે તો તેમની પાસેથી કામગીરી પરત લઈ લેવામાં આવશે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં SOG દ્વારા એક ચોંકાવનારો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં એક કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે લેબોરેટરી શરૂ કરીને MD ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ચાલતું હતું. SOGની ટીમે દરોડા પાડીને આ ગેરકાયદેસર લેબમાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચાલતું હોવાની આ ઘટનાએ સુરત પોલીસ અને સ્થાનિક તંત્રને સતર્ક કરી દીધું છે. પોલીસ કાર્યવાહી દરમિયાન લેબોરેટરીમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી, કેમિકલ્સ અને તૈયાર માલ મળીને અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ આ ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવાના હતા અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં હાલ ઊંડી તપાસ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથી મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી મોદીનો 2 કિમી લાંબો રોડ શો યોજશે, જેમાં 108 અશ્વો સામેલ થશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગઈ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે. સદભાવના ગ્રાઉન્ડ અને મોદીનું કનેક્શનપ્રધાનમંત્રી મોદી જે વિશાળ મેદાનમાં જનસભાને સંબોધશે તે સદભાવના ગ્રાઉન્ડ પોતે જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે ચાલતા જન આંદોલન દરમિયાન તેમણે જાન્યુઆરી 2012માં આ જ સ્થળે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદથી આ મેદાન 'સદભાવના ગ્રાઉન્ડ' તરીકે ઓળખાય છે. એક લાખથી વધુ લોકોની હાજરીનો અંદાજ11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં એક લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે. ભાજપ અધ્યક્ષ સોમનાથ આવી પહોંચ્યાજનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે તા. 7 જાન્યુઆરીએ સોમનાથ આવી પહોંચ્યા છે. તેઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરશે. જનમેદની એકત્ર કરવા માટે રાજ્યના ચાર મંત્રીઓ પણ સક્રિય રીતે કવાયત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે મોદી 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે. 2 કિ.મી. લાંબી યાત્રામાં 108 અશ્વો સામેલ થશેધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય 'સ્વાભિમાન યાત્રા' યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે 2 કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે. 1026ની ઘટનાનાં 1000 વર્ષપીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે. ચુસ્ત સુરક્ષા અને તડામાર તૈયારી10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકેસૂત્રો અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોર પ્રોજેક્ટના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્રણમાંથી એક અંતિમ પ્રોજેક્ટને વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત વિશાળ, આધુનિક સુવિધાઓથી સજ્જ અને દૃશ્યાત્મક રીતે અદભુત હશે. સોમનાથ મંદિરને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે. સ્વાભિમાન પર્વ: ઇતિહાસથી ભવિષ્ય તરફસોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ એ ભારતના અડગ આત્મવિશ્વાસ, અખંડ આસ્થા અને હજારો વર્ષ જૂના સ્વાભિમાનનું પુનર્જાગરણ છે. એક હજાર વર્ષ પછી પણ અડીખમ ઊભેલા સોમનાથ મહાદેવ આજે ફરી દેશને એ જ સંદેશ આપી રહ્યા છે — વિનાશ પછી પણ નવસર્જન, પરાજય પછી પણ વિજય અને અંધકાર પછી પણ પ્રકાશ. અમદાવાદ-રાજકોટમાં પણ મોદીના કાર્યક્રમોસોમનાથ બાદ 11 તારીખે રાજકોટમાં અને 12 તારીખે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટમાં રિઝનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે તો અમદાવાદમાં ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર સુધી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે રંગરોગાળ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં સાફસફાઇ અને વૃક્ષો ઉગાડવામાં પણ આવી રહ્યા છે. સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. જે દરમિયાન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આંટી અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સાબરમતી આશ્રમમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી આશ્રમમાં અંદાજે 20 મિનિટ સુધી મુલાકાત કરવાના છે. તેમજ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોદીની X પર 3 પોસ્ટ્સનરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 3 પોસ્ટ્સ કરી છે, જેમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને લગતી છે, જ્યારે બે સોમનાથને લગતી છે અને હિન્દી-અંગ્રેજીમાં છે. આપણી મહાન સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસો અસંખ્ય હુમલાઓનો સાક્ષી રહ્યો છે. આ દેશવાસીઓની સામૂહિક શક્તિ જ છે, જેણે આપણા સાંસ્કૃતિક વારસાને હંમેશાં અકબંધ રાખ્યો છે. વનાનિ દહતો વહ્નેઃ સખા ભવતિ મારુતઃ।સ એવ દીપનાશાય કૃશે કસ્યાસ્તિ સૌહૃદમ્।। (અર્થાત્: પવન એ અગ્નિનો મિત્ર બને છે, જે જંગલને બાળી નાખે છે, પરંતુ એ જ પવન નાના દીવાને ઓલવી નાખે છે. નિર્બળ સાથે કોણ મિત્રતા કરે?) જય સોમનાથ! વર્ષ 2026માં આપણી આસ્થાના તીર્થધામ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વારંવાર થયેલા હુમલાઓ છતાં આપણું સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે! સોમનાથ ખરેખર ભારત માતાના એ કરોડો વીર સંતાનોના સ્વાભિમાન અને અદમ્ય સાહસની ગાથા છે. જય સોમનાથ! વર્ષ 2026 સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાનાં 1000 વર્ષ પૂરાં થવાનું વર્ષ છે. ત્યાર બાદ થયેલા વારંવારના હુમલાઓ છતાં સોમનાથ આજે પણ ગર્વભેર ઊભું છે! આ એટલા માટે, કારણ કે સોમનાથની ગાથા ભારત માતાનાં એ અગણિત સંતાનોના અતૂટ સાહસની છે, જેમણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કર્યું. વડાપ્રધાને લખેલા વિશેષ લેખ (OpEd)નો સંક્ષિપ્ત ભાવાનુવાદસોમનાથ મંદિર ભારતની આત્મા અને શ્રદ્ધાનું પ્રતીક છે. જાન્યુઆરી 1026માં મહમૂદ ગઝ્નવી દ્વારા થયેલા પ્રથમ આક્રમણને 2026માં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આક્રમણકારોનો હેતુ માત્ર લૂંટફાટ કે વિનાશ જ નહીં, પરંતુ આપણી સભ્યતાના આ ગૌરવશાળી કેન્દ્રને નેસ્તનાબૂદ કરવાનો હતો છતાં સદીઓ સુધી ચાલેલી આ બર્બરતા અને વારંવાર થયેલા હુમલાઓ સામે સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે, જે ભારતની અજેય જીવંતતાનો પુરાવો આપે છે. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ સંકલ્પ અને કે.એમ. મુનશીના પ્રયત્નોથી સોમનાથનું ભવ્ય પુનઃનિર્માણ થયું. 11 મે, 1951ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આ મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખૂલ્યાં, જે આધુનિક ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનું મહત્ત્વનું સીમાચિહ્ન બન્યું. સ્વામી વિવેકાનંદે પણ સોમનાથને 'રાષ્ટ્રીય માનસ'નું પ્રતીક ગણાવ્યું હતું, જે ખંડેરોમાંથી વારંવાર બેઠું થઈને નવી શક્તિ સાથે પ્રગટ્યું છે. આજે જ્યારે ભારત વિશ્વમંચ પર ગૌરવ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે સોમનાથ આપણને શીખવે છે કે નફરત ક્ષણિક છે, પણ શ્રદ્ધા શાશ્વત છે. આક્રમણકારો ધૂળમાં મળી ગયા, પણ સોમનાથ આજે પણ પ્રકાશ ફેલાવી રહ્યું છે. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદથી આપણે એ જ પુરાતન ગૌરવ સાથે 'વિકસિત ભારત'ના નિર્માણ માટે આગળ વધવાનું છે, જ્યાં આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર ગામના ખેડૂત બનાભાઈ કટારા પ્રાકૃતિક કૃષિમાં સફળતા મેળવી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હોવાથી, બનાભાઈએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી આ પદ્ધતિ અપનાવી છે. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. બનાભાઈ કટારા દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત કુદરતી ખાતરોનો ઉપયોગ કરીને ખેતી કરે છે. તેઓ જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર અને લીમડાની પેસ્ટ જેવા કુદરતી દ્રાવણો તૈયાર કરે છે. આ ખાતરો જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ કરે છે, ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે અને પાકને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. આ પદ્ધતિથી રાસાયણિક ખાતરોનો ખર્ચ બચે છે અને જમીનની કુદરતી ફળદ્રુપતા જળવાઈ રહે છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી બનાભાઈને બાયો રિસોર્સ સેન્ટર (BRC) પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. એક લાખની સહાય મળી છે. આ પ્લાન્ટ દ્વારા તેઓ જીવામૃત જેવા કુદરતી ખાતરોનું ઉત્પાદન કરે છે, જેનાથી તેમની ખેતી વધુ સ્વાવલંબી બની છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખાતરો પૂરા પાડીને મદદ કરી રહ્યા છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને તાલીમ, દેશી ગાય સહાય યોજના (માસિક રૂ. ૯૦૦ની સહાય) અને સોઈલ હેલ્થ કાર્ડ જેવી સહાયો આપવામાં આવે છે. આ યોજનાઓથી ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે, જેનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, પાણીનો વપરાશ ઘટે છે અને આરોગ્યપ્રદ પાકનું ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણનું રક્ષણ કરે છે અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.
ભાવનગરમાં ગત રાત્રીના શહેરના નારીગામ નજીક દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે ભાવનગર બાજુ આવી રહી હતી. તે વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાતા રોડ પર દારૂની રેલમછેલઆ અકસ્માતના બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગત રાત્રીના ભાવનગર શહેરના નારી ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી બલેનો કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. તે વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જે કારનો અકસ્માત સર્જાયો તેમાં લઈ જવાતા વિદેશી દારૂની રોડ ઉપર રેલમછેલ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ અકસ્માતની જાણ વરતેજ પોલીસને થતા મસમોટો પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત થયેલી કારને ક્રેઇનની મદદથી રોડ ઉપરથી દૂર કરવામાં આવી હતી. જે બાદ રોડ પર પડેલી વેદેશી દારૂની બોટલોને પ્લાસ્ટિક બોરીમાં ભરી પોલિસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્તઅકસ્માતમાં કારમાં સવાર મહિલા અને અજય નામની વ્યક્તિ સહિત અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દારૂ ભરેલી કાર ભાવનગર તરફ આવી રહી હતી અને કારમાંથી બે અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં એક હરિયાણા પાર્સિંગની HR-10-AC- 0321 અને અન્ય ગુજરાત પાર્સિંગની Gj27 નંબરની એમ બે નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારે દારૂ ભરેલી કાર ભાવનગર તરફ ક્યાંથી અને કોના માટે લઈ જવાઈ રહી હતી, તેમજ કારમાં બે નંબર પ્લેટ કેમ રાખવામાં આવી હતી તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો સમગ્ર મામલે વરતેજ પોલિસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ હાઇવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત:નારી ગામ પાસે બે લોકો ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદ હાઇવે પર નારી ગામ નજીક આજે દારૂ ભરેલી એક કારનો અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં જઈ રહેલી આ કાર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે દારૂની બોટલો છૂટી પડતાં રેલમછેલ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે દારૂ ભરેલી કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત અને દારૂની હેરાફેરી બંને બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
ડાંગના ગલકુંડ હાટ બજારમાં આરોગ્ય કેમ્પ યોજાયો:‘આરોગ્ય સંજીવની મોબાઈલ યુનિટ’થી ગ્રામજનોને લાભ મળ્યો
ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાપ્તાહિક હાટ બજારો હવે માત્ર ખરીદ-વેચાણના કેન્દ્રો પૂરતા સીમિત નથી, પરંતુ આરોગ્ય સેવાઓનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની પહેલથી અંતરિયાળ વિસ્તારોના લોકોને હાટ બજારોમાં જ આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આ શ્રેણીમાં, મંગળવારે આહવા તાલુકાના ગલકુંડ ગામે ભરાયેલા સાપ્તાહિક હાટ બજારમાં ‘આરોગ્ય સંજીવની મોબાઈલ યુનિટ’ દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડો. હેતલ દેશમુખ અને તેમની ટીમે મોટી સંખ્યામાં ગ્રામજનોને આરોગ્ય ચકાસણી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન સામાન્ય તાવ, શરદી, ઉધરસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી વિવિધ બીમારીઓની તપાસ કરાઈ હતી. દર્દીઓને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી હતી. આ સેવા ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ. ડો. હેતલ દેશમુખે જણાવ્યું કે, આહવા સિવિલ હોસ્પિટલ હેઠળ કાર્યરત આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા નિયમિતપણે સૂચિત ગામોમાં આરોગ્ય કેમ્પો યોજવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સારવાર માટે દૂર ન જવું પડે અને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી રહી છે. હાટ બજારમાં આવતા લોકો એક જ સ્થળે પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા સાથે આરોગ્ય ચકાસણી પણ કરાવી શકે છે, જેનાથી તેમના સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. ગ્રામજનોએ પણ આ પહેલને સારો આવકાર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, હાટ બજારમાં આરોગ્ય સેવાઓ મળવાથી બીમારીઓની વહેલી ઓળખ શક્ય બની છે અને સમયસર સારવાર મળતા આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. ડાંગ જિલ્લાના વિકાસમાં આરોગ્ય ક્ષેત્રે આવી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
કોમનવેલ્થ-2030ની અમદાવાદને યજમાની મળતા માળખાગત સુવિધાના વિકાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત 2036 ઓલિમ્પિક માટે જે સ્પોર્ટસ કોમ્પલેક્સ અને ગ્રાઉન્ડસ તૈયાર કરાઈ રહ્યા છે તેમાં ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ એકેડમીનો પણ સમાવેશ કરાયો છે. વર્ષ 2001થી ગુજરાત પોલીસ જવાનોને તાલીમ પૂરી પાડતી કરાઈ પોલીસ એકેડમી ખાતેના સંકુલને વિસ્તારને કોમનવેલ્થ ગેમ્સ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટસ સંકુલ વિકસાવવાની યોજનાની જાહેરાત થઈ ચૂકી છે. આગામી સમયમાં ગુજરાત પોલીસ એકેડમીનું નામ બદલીને 'પોલીસ એકેડમી અને સ્પોર્ટસ હબ' કરાશે. કોમનવેલ્થ ગેમ્સ માટે કરાઈમાં સ્પોર્ટસ સંકુલ વિકાસવવાનું હોય અહીં કાર્યરત પોલીસ એકેડમીને સંપૂર્ણ અથવા અમૂક હિસ્સાને ખલાલ સ્થિત પોલીસ એકડમીમાં ખસેડવાની ઉચ્ચસ્તરીય હિલચાલ ચાલી રહી છે. ત્યારે આજે વાત કરીશું 124 એકર વિસ્તારમાં ફેલાયેલી કરાઈ એકેડમીમાં પોલીસ જવાનોની તાલીમ માટે કયા પ્રકારની સુવિધાઓ આવેલી છે અને કોમનવેલ્થ ગેમ્સ માટે અહીં કયા પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે? ગુજરાત પોલીસને તાલીમ આપતી મહત્વની સંસ્થા એટલે કરાઈ પોલીસ એકેડમીવર્ષ 1985 થી 2000 સુધી ખલાલ ખાતે કમાન્ડોની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. બાદમાં વર્ષ 2000માં કરાઈ ખાતે 124 એકરમાં ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરાઈ હતી . અહીં વર્ષ 2001માં પોલીસની પહેલી બેચે ટ્રેનિંગ લીધી હતી. બાદમાં તબક્કાવાર એકેડેમીમાં ગ્રાઉન્ડથી માંડી વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ હતી. હાલમાં કરાઈ એકેડેમીનું 124 એકરમાં વિસ્તરણ થઈ ચૂક્યું છે. જ્યારે બાકીના એકરની જમીન વિવાદમાં સપડાઇ છે. આ એકેડેમીમાં એડમિન ઓફિસથી માંડીને પોલીસ જવાનો માટે તમામ સગવડો સાથે રહેવાની હોસ્ટેલ પણ છે. કરાઈ પોલીસ એકેડેમીના એક ઉચ્ચ અધિકારી સાથેની વાતચીત અને સ્થળ વિઝિટમાં જાણવા મળ્યું કે, કરાઈ એકેડેમીનો આખો રાઉન્ડ મારો તો સાડા ત્રણથી ચાર કિલોમીટર થઈ જાય છે. આ 16 મીટરનો વોક વે રિવર ફ્રન્ટ તરીકે ઓળખાય છે.આ રિવરફ્રન્ટ પછી જ અમદાવાદ સાબરમતી નદી ખાતે રિવર ફ્રન્ટની યોજના તરતી મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં 60,000 પોલીસ અધિકારી-જવાનોએ તાલીમ લીધીઅહી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વિવિધ સંવર્ગના અધિકારી અને પોલીસ જવાનો ટ્રેનીંગ લઈ ચૂક્યા છે. ઘણાં એ તો અહીં પોતાની ટ્રેનિંગ દરમિયાન વૃક્ષો પણ વાવ્યા હતા. જે આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. અહીં આશરે 30 હજારથી અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું ગાઢ જંગલ એટલે કે ઓક્સિજન પાર્ક છે. જેમાં એક હજાર જેટલા તો ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સ્થળોએ મિયાવાકિ પદ્ધતિથી 7000 જેટલા વૃક્ષોને ઉછેરવામાં આવે છે. કોમનવેલ્થ ગેમ્સ માટે ઉપયોગ થઈ શકે તેવા મેદાન ઉપલબ્ધજ્યારે અન્ય સુવિધા અને વિશેષતાની વાત કરીએ તો અહી સિન્થેટિક એથલેટિક ટ્રેક છે (જેની કોમન વેલ્થ ગેમ્સ માટે પસંદગી કરાઈ છે), ત્રણ વિશાળ પરેડ ગ્રાઉંડ, એક ફૂટબોલ ગ્રાઉંડ, સિન્થેટિક ટેનિસ અને બાસ્કેટ બોલ કોર્ટ, સ્વિમિંગ પુલ, બેડમિંટન કોર્ટ છે. ઉપરાંત પોલીસ જવાનોને ફાયરિંગ પ્રેક્ટિસ માટે અલાયદુ બફેલ રેન્જ એટલે કે ફાયરિંગ રેન્જ બનાવવામાં આવ્યું છે. જેની રચના એ રીતે કરાઈ છે કે વિવિધ બંદૂકોથી ગોળીબારની ટ્રેનિંગ દરમિયાન કોઈ વખત મિસ ફાયર થઈ જાય તોય ગોળી નિયત વિસ્તારમાં જ રહી જાય છે. કરાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 124 એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામશે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે, જે 50,000થી 55,000 દર્શકોને સમાવી શકશે. ઇન્ડોર મલ્ટીયુઝ મેદાનમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશેઆ સાથે કરાઈમાં ઇન્ડોર મલ્ટીયુઝ મેદાન બનાવાશે, જેમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે, જે વિવિધ ઇવેન્ટ્સનું સાક્ષી બનશે. 5,000થી 6,000 દર્શકોને બેસવા માટે બનાવેલા આ મેદાનમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ્સ સહિત અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે, સાથે જ એક શૂટિંગ સેન્ટર પણ બનશે. જે ફ્રેશર્સની સાથે પ્રોફેશનલ શૂટર્સ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ હશે. આ સિવાય જીઓ અને એસઓ મેસ ઉપરાંત 95 પોલીસ ઇન્સ્પેકટર માટે ઓફિસર હોસ્ટેલ, 100 લોકોની ક્ષમતા વાળી વિવિધ સંવર્ગ માટે ટ્રેનીંગ હોસ્ટેલ, 330ની ક્ષમતાની PSI બેરેક, મહિલા માટે 300ની ક્ષમતા વાળી બે હોસ્ટેલ તેમજ 300,400 મળીને કુલ 700 ક્ષમતા વાળી પુરુષોની હોસ્ટેલ પણ છે. અહીં માઉન્ટેડ યુનિટ, કમાન્ડો ઓપ્ટિસ્કલ્સ કોર્સ શીખવામાં આવે છે. સ્પોર્ટસ કોમ્પલેક્સ માટે પોલીસ એકેડમીને ખલાલ ખસેડાય તેવી શક્યતાત્યારે આટલી બધી સુવિધાઓથી સજ્જ 124 એકરમાં ફેલાયેલા ગુજરાત પોલીસ એકેડેમી સંકુલ ખાતે કોમન વેલ્થ ગેમ્સને લઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન છે. જેના વૈશ્વિક કક્ષાના ઇન્ફ્રા સ્ટ્રક્ચર માટે વર્ષ 2026ના અંત સુધીમાં કરાઈ પોલીસ એકેડેમીનો અમુક હિસ્સો કે આખે આખું માળખું ખલાલ એકેડેમી શિફ્ટ કરવાની દિશામાં ગતિવિધિ ચાલી રહી છે. કોમન વેલ્થની યજમાની માટે વર્ષોથી આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત પોલીસ એકેડેમીનું નામ બદલીને સ્પોર્ટ્સ હબ કરી દેવા તજવીજ શરૂ હતી. જેના પગલે કરાઈ એકેડેમીના ઉચ્ચ અધિકારીઓએ સરકારમાં પત્ર લખી ગુજરાત પોલીસ એકેડેમીનું નામ પોલીસ એકેડેમી એન્ડ સ્પોર્ટ્સ હબ રાખવા ખાસ ભલામણ પણ કરાઈ ચૂકી છે. જેના પર અંતિમ મહોર લાગવાની તૈયારીઓ છે. બીજી તરફ કરાઈ પોલીસ એકેડેમીને શિફ્ટ કરવાની વાતથી પણ પોલીસ બેડામાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કેમકે વર્ષોની અથાગ મહેનત અને પરિશ્રમ પછી અત્રેની 124 એકરની વેરાન જગ્યા આજે ગાઢ જંગલોની વચ્ચે આધુનિક સુખ સુવિધાઓ સાથેની પોલીસ ટ્રેનીંગ એકેડેમી બની ચૂકી છે. અહીં હજજારો પક્ષીઓનો પણ વસવાટ છે. જેથી આ સંકુલમાં હયાત વનરાજીને નુકશાન કર્યા વિના કોમન વેલ્થ માટે માળખું ઊભું કરાય તેવું સૌ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારો ઈચ્છી રહ્યાં છે.
ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર. પરંતુ આ આનંદ કોઈ નિર્દોષ પક્ષી, પશુ કે માનવી માટે જીવલેણ ન બને એ માટેની જવાબદારી હવે સમાજ સાથે સાથે શાળાઓએ પણ સંભાળી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી ન વાપરવા શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. ઉત્તરાયણ પૂરી થયા બાદ રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરવા કેમ જરૂરી છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવાનું આયોજન કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકો અને આચાર્યોને પત્ર લખી સૂચના આપી છે. DEO સૂચનાના આધારે આજે તમામ શાળાઓમાં અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેશે. બાળકોને શીખવાશે સંવેદના અને સુરક્ષાના પાઠઉત્તરાયણનો તહેવાર તમામ લોકોનો પ્રિય તહેવાર હોય છે. તેમાં પણ બાળકો ઉત્તરાયણના તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, તુક્કલ નો ઉપયોગ મનુષ્યો, પશુઓ અને પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક અને જીવલેણ સાબિત થતો હોય છે. ચાઈનીઝ દોરીના કારણે રાજ્યભરમાં અનેક લોકોના મોત પણ ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા હોય છે. જેથી સરકાર દ્વારા પણ ચાઈનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી અમદાવાદ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે શાળાઓના વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. તેમજ શાળાના તમામ બાળકો અને વાલીઓને ચાઈનીઝ માંઝા અને તુક્કલના વપરાશના ભયસ્થાનો અને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરાવવામાં આવશે. ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞાનું વાંચન કરાવવામાં આવશે. ઉત્તરાયણના પર્વ પર દુર્ઘટના ન સર્જાય તે જોવાની સૌ કોઈની ફરજઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના ધાર્મિક તહેવારની ઉજવણી વર્ષોથી દુનિયાભરમાં પ્રસિદ્ધ હોવા સાથે પોતાની એક તહેવાર તરીકેની આગવી નામના પણ ધરાવે છે. દરેક ઉજવણીનું મહત્વ ધાર્મિક સિદ્ધાંતોથી વિસ્તૃત હોવા સાથે જીવન કલ્યાણનો આશય પણ એટલા જ ભાવથી તેમાં જોડાયેલો હોય છે. પરંતુ જ્યારે કોઈ ઉજવણી, પ્રસંગ, તહેવાર પોતાને પશુ પક્ષી કે પ્રકૃતિને જીવલેણ કે નુકસાન કરતા જાણે અજાણે આવી કોઈ દુર્ઘટના ન બને તે જોવું પણ આપણા સૌની નૈતિક ફરજ છે. દરેક વિદ્યાર્થી આ પ્રતિજ્ઞા લેશેહું પ્રતિજ્ઞા લવ છું કે...'' આગામી મકરસંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે ( જ્યારે પક્ષીઓ આકાશમાં વધુ હોય છે ત્યારે ) પતંગ નહિ ચગાવુ, જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય. હું ક્યારેય ઘાતક ચાઈનીઝ દોરી કે કાચવાળા માંજાનો ઉપયોગ નહીં કરું, જે પક્ષીઓ અને મનુષ્ય માટે જોખમી છે. હું ધાબા પર પતંગ ચગાવતી વખતે હંમેશા સાવચેત રહીશ અને ક્યારેય રસ્તા પર પતંગ પકડવા પાછળ દોડીશ નહીં. ઉત્સવ પૂરો થયા પછી હું ધાબા પર કે રસ્તા પર પડેલા દોરીના ગુચડાઓ અને કચરો સાફ કરીશ, જેથી કોઈ પશુ પક્ષી તથા પ્રાણી તેમાં ફસાઈ ન જાય. જો મને કોઈ કાયલ પક્ષી દેખાશે તો હું તરત જ વડીલોને જણાવીશ અથવા ભક્તિ હેલ્પલાઇનનો સંપર્ક કરીશ. મારો આનંદ, કોઈ તો જીવ ન લે - એ જ મારી સાચી ઉત્તરાયણ ! આ પ્રકારની પ્રતિજ્ઞા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ લેવાના છે.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે તમે વાંચ્યું કે સુરતમાં આવેલી કોયલી ખાડીમાંથી સવારના સમયે બાળકનો રડવાનો અવાજ આવતો હતો. રાહદારીઓએ જોયું તો ગંદા પાણી અને કાદવમાં ખૂંપાયેલી ત્રણેક વર્ષની એક બાળકી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. બે યુવાનો તેને બચાવવા માટે ખાડીમાં ઉતર્યા. આ જ સમયે તેમને છએક મહિનાના એક બાળકની લાશ દેખાઈ અને આખા સુરતમાં હોહા મચી ગઈ. પોલીસે આ બન્ને બાળકો વિશે તપાસ કરી તો તેઓ સુરતના લિંબાયતના શાહપોર વિસ્તારના હોવાનો ખુલાસો થયો. બન્ને બાળકો સગા ભાઈ-બહેન હતા. થોડી જ વારમાં ઘણા સગાં-સંબંધીઓ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા. જેમાં બાળકોના પિતા જબ્બાર પણ હતો. પરંતુ પોલીસને એક વાત ખટકી, કારણ કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ બાળકોની માતા ગુમ હતી. વાત તો એવી પણ ઊડી કે બાળકોની માતા સમીમ બન્ને સંતાનોને ખાડીમાં ફેંકીને પોતાના પ્રેમી સાથે સાથે ભાગી ગઈ છે. જો કે એ જ દિવસે સમીમની લાશ સુરતની 100 કિલોમીટર દૂર ઉચ્છલ પોલીસ સ્ટેશના હદ વિસ્તારમાં એક રેલવે સ્ટેશન પાસેથી મળી આવી હતી. તેની કોઈએ નિર્દયતાથી હત્યા કરી હતી. જે તે સમયે લાશની ઓળખ નહોતી થઈ. પરંતુ આસપાસના જિલ્લાઓમાં આ માહિતી પહોંચતી કરતા સુરત પોલીસ મારફતે તેની ઓળખ થઈ અને પછી તો કેસની દિશા જ બદલાઈ ગઈ. સવાલ એ હતો કે જો સમીમની ઉચ્છલમાં હત્યા થઈ ગઈ અને બે બાળકો સુરતની ખાડીમાંથી મળ્યા તો આ કૃત્ય પાછળ હાથ કોનો હતો અને તેનો ઇરાદો શું હતો? પોસ્ટમોર્ટમ રિપોર્ટ મારફતે આવેલી જાણકારીથી એટલું તો સ્પષ્ટ હતું કે સમીમની હત્યા એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. પોલીસને શંકા સમીમના પતિ જબ્બાર પર પણ હતી. (ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે આગળનો ઘટનાક્રમ વાંચો…ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જબ્બારશા બેઠો હતો. તેની સામે બેઠેલા પોલીસ અધિકારીઓની નજર તેના ચહેરાના એક-એક હાવભાવને માપી રહી હતી. સમીમની લાશ મળી ચૂકી હતી અને હવે જબ્બાર માત્ર એક પીડિત પતિ નહોતો પણ પોલીસ માટે તે શંકામાં આવેલો એક શખસ પણ હતો. જબ્બાર, સાચું બોલજે. જો જૂઠું બોલ્યો તો તારી ખેર નથી. તારી પત્ની અને બાળકો સાથે એ રાત્રે શું થયું હતું?. અમારે તારા વિશે જાણવું છે. પોલીસ અધિકારીએ ટેબલ પર હાથ પછાડીને ડરાવતા અવાજે પૂછ્યું. જબ્બારે ધ્રૂજતા અવાજે પોતાની કેફિયત રજૂ કરી. સાહેબ, હું તો ડ્રાઈવર માણસ છું. ગાડીઓની લે-વેચ કરતા શેઠને ત્યાં નોકરી કરીને માંડ ગુજરાન ચલાવું છું. પંદર વર્ષ પહેલાં રૂક્શાના સાથે નિકાહ થયા હતા, તેનાથી મારે ચાર સંતાનો છે. પણ ચાર વર્ષ પહેલાં મને સમીમ સાથે પ્રેમ થઈ ગયો અને અમે નિકાહ કરી લીધા. હું સમીમ અને મારા બે નાના બાળકો સાથે શાહપોરમાં અલગ રહેતો હતો. જબ્બારે પોતાના પરિવાર અને ભૂતકાળ વિશે ટૂંકમાં કહ્યું અને અટકી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને 20 જુલાઈનો ઘટનાક્રમ જણાવ્યો. સાહેબ, 20 તારીખે હું ગાડી લઈને કામથી બહાર ગયો હતો. 21 તારીખની સવારે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર ન તો સમીમ હતી, ન તો બન્ને બાળકો હતા. મને ચિંતા થવા લાગી. એટલે હું આ લોકોને શોધતો-શોધતો આસપાસના વિસ્તારમાં ફરી વળ્યો. ત્રણેય ત્યાં ન મળ્યા તો મારી સાસરીમાં દોડ્યો, પછી સાળીના ઘરે ગયો. પણ કોઈનો ક્યાંય અતોપતો નહોતો. પછી તને ખાડી વિશે કેવી રીતે ખબર પડી? પોલીસે વળતો સવાલ કર્યો. સાહેબ, આખા વિસ્તારમાં હોબાળો મચ્યો હતો કે કોયલી ખાડીમાંથી બાળકો મળ્યા છે. એટલે હું ત્યાં પહોંચ્યો હતો. મને નથી ખબર કે મારો દીકરો કેવી રીતે મરી ગયો અને સમીમ ઉચ્છલ કેવી રીતે પહોંચી. જબ્બાર ડૂસકા ભરી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ એકબીજા સામે જોયું. જબ્બારની વાતો સાંભળીને કેટલાક સવાલોના જવાબ મળ્યા અને બીજા કેટલાક નવા સવાલો પણ ઉભા થયા. જેમ કે, જો જબ્બાર રાત્રે ઘરે નહોતો તો સમીમ અને બે બાળકોને અડધી રાત્રે ઘરેથી કોણ લઈ ગયું?શું કોઈ અજાણ્યા શખ્સોએ સમીમના ઘરમાં ઘૂસીને બે બાળકો સહિત ત્રણ લોકોનું અપહરણ કર્યું?સમીમની લાશ 100 કિમી દૂર મળી, જ્યારે બાળકો સુરતની ખાડીમાં, એનો અર્થ એ કે હત્યારાઓ પાસે પોતાની ગાડી હોવી જોઈએ. તપાસ અધિકારીના મગજમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. જબ્બાર પોતે ડ્રાઈવર હતો. તેની પાસે ગાડી હતી. તો શું જબ્બારે જ પોતાની પહેલી પત્ની રૂક્શાનાને ખુશ કરવા અથવા કોઈ બીજા કારણસર આ આખું નાટક રચ્યું હતું? જબ્બાર, તારી પહેલી પત્ની રૂક્શાના સાથે તારે હવે કેવા સંબંધો છે? પોલીસે મુદ્દાની વાત છેડી. જબ્બાર મૌન થઈ ગયો. આ મૌન ઘણું બધું કહી જતું હતું. 15 વર્ષનો જૂનો સંસાર અને અચાનક નવા લગ્યા પછીની લોહિયાળ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. પોલીસ હવે જબ્બારના લોકેશન અને તે રાત્રે તે કઈ ગાડી લઈને ક્યાં ગયો હતો તેની કડીઓ જોડવા લાગી. આ કેસની તપાસ હવે લિંબાયતના એ ભાડાના મકાનથી શરૂ થઈને રૂક્શાનાના ઘર સુધી પહોંચી રહી હતી. પોલીસે જબ્બારની પૂછપરછ, ટેક્નિકલ પુરાવાની સાથે હવે જબ્બારના પરિવારના તમામ સભ્યોની કુંડળી કાઢી લીધી. જાણવા મળ્યું કે જબ્બારની માતા જમીલાબાનુને એ વાત ખૂંચતી હતી કે તેનો દીકરો તેની પહેલી પત્ની રૂક્શાનાને છોડીને બીજી પત્ની સમીમબાનુને વધુ સમય આપી રહ્યો હતો. રૂક્શાના જમીલાની પુત્રવધુ જ નહીં ભાણી પણ હતી. પોતાની ભાણીનું ઘર બગડતું જોઈ જમીલાના મનમાં ઝેર ભરાયું. તેણે નક્કી કરી લીધું કે કોઈક રીતે આનો રસ્તો કાઢવો પડશે. તેણે સમીમબાનુ અને તેના બંને માસૂમ બાળકોને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનો એક ક્રૂર પ્લાન ઘડ્યો. પોલીસની તપાસ જેમ-જેમ ઊંડી ઉતરી તેમ તેમ માનવતાને શરમાવે એવી હકીકત બહાર આવતી ગઈ. શરૂઆતમાં માત્ર સાસુ જમીલા અને દિયર અફજલના નામ સામે આવ્યા હતા પણ ટૂંક સમયમાં જ આ ગુનાહિત કાવતરામાં જબ્બારની પહેલી પત્ની રૂક્શાના અને તેના ભાઈ ઈમરાનની સીધી સંડોવણી પણ ખુલ્લી પડી ગઈ. જમીલાએ સમીમ સાથે મુલાકાત કરી અને તેને લાલચ આપી. બેટા, અત્યારે રમઝાનનો પવિત્ર મહિનો ચાલે છે. મહારાષ્ટ્રના નવાપુરમાં જકાત (દાન) ખૂબ સારી મળે છે. તું તારા બાળકોને લઈને અમારી સાથે ચાલ એટલે તને ફાયદો થશે. અત્યાર સુધીમાં સમીમ અને તેની સાસુ વચ્ચેના સંબંધો સારા ન હતા. પણ લગ્નના ચાર વર્ષ બાદ સાસુએ આવી ફિકર કરી એટલે તેને ઘણું સારું લાગ્યું. જો કે સમીમ પોતાની સાસુના શબ્દો પાછળ છુપાયેલા મોતના ષડયંત્રને સમજી ન શકી અને નવાપુર જવા માટે રાજી થઈ ગઈ. 20 જુલાઈ, 2014ના રોજ સમીમ તેના બાળકો સાથે થેલો ભરીને ઘરેથી નીકળી રેલવે સ્ટેશન પહોંચી. તેની સાથે સાસુ જમીલા, જબ્બારની પહેલી પત્ની રૂક્શાના અને બીજા બે લોકો અફજલ અને ઇમરાન હતા. નવાપુર રેલવે સ્ટેશને ઉતર્યા બાદ રાતના અંધારામાં તેઓ પગપાળા ઉચ્છલ તરફ નીકળ્યા. રાત્રે 11 વાગ્યાની આસપાસના સમયે તેઓ ગોમતી નાળા પાસેના નિર્જન ઓવરબ્રિજ નીચે પહોંચ્યા. કોઈની અવરજવર ન હતી. આ જ સમયે ચારેય લોકોએ પોતાનો પ્લાન એક્ટિવ કર્યો અને સમીમ પર હુમલો કર્યો. સમીમને જમીન પર પટકી દેવામાં આવી. તેના બાળકોની નજર સામે જ ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને થોડી જ વારમાં તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. સમીમને બચવા માટેનો એક મોકો ન આપ્યો. ત્યાર બાદ હત્યારા પરિવારે સમીમની લાશ અને લોહીવાળું ચપ્પુ ત્યાં જ ફેંકી દીધું. સમીમના બન્ને બાળકો ચીસો પાડીને રડી રહ્યા હતા પણ કોઈને દયા ન આવી. સમીમબાનુને ઉચ્છલમાં મોતના ઘાટ ઉતાર્યા પછી, આ ચારેય નરાધમો જમીલા, અફજલ, રૂક્શાના અને ઈમરાન એક જ ગાડીમાં સુરત પાછા આવ્યા હતા. સુરત આવીને તેઓ લિંબાયત વિસ્તારમાં જબ્બારની બહેન ફાતેમાના ઘરે પહોંચ્યો. છ મહિનાનો માસૂમ બાળક ભૂખના કારણે સતત રડી રહ્યો હતો. બાળકના રડવાના અવાજે જમીલાના મનમાં ડર પેસાડી દીધો. તેને લાગ્યું કે આ છોકરો રડશે તો આપણે પકડાઈ જઈશું. પોતાના પાપને છુપાવવા માટે ચારેય લોકોએ વધુ બે હત્યાઓનો પ્લાન બનાવ્યો. રાતના સમયે જ ચારેય લોકો બે બાળકોને લઈને ફરીથી સુરતના રસ્તાઓ પણ નીકળી પડ્યા. બાળકોને કેવી રીતે ખતમ કરી દેવા એનો કોઈ નક્કર પ્લાન ન હતો. થોડે આગળ જતા રસ્તામાં કોયલી ખાડી આવી અને મનમાં ઝબાકો થયો. પરોઢિયે આ વિસ્તારમાં કોઈની પણ અવરજવર ન હતી. એટલે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર 3 વર્ષની બાળકી અને 6 મહિનાના બાળકને પુલ પરથી 30 ફૂટ ઊંડી કોયલી ખાડીના ગંદા પાણી અને ઊંડા કાદવમાં ફેંકી દીધા. હત્યારાઓની ગણતરી એવી હતી કે બંને બાળકો કાદવમાં ગૂંગળાઈને મરી જશે અને કોઈને કાનોકાન ખબર નહીં પડે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. માસૂમ બાળકીનો આક્રંદ એક રાહદારીએ સાંભળી લીધો અને તે બચી ગઈ. જો કે છ મહિનાના બાળકનું શરીર એ ગંદકી સામે હારી ગયું અને તેણે જીવ છોડી દીધો. પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી. તત્કાલીન PSI એસ.પી. વસુમિયાએ ઝીરો FIR નોંધી ઉચ્છલ પોલીસને તપાસ સોંપી અને તમામ વિરુદ્ધ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી. કાયદાના સકંજાએ ખૂનીઓને જેલ ભેગા કર્યા પણ એ માસૂમ નાઝમીનનું શું? જેણે મોતને નજરે જોયું હતું? મોતને હાથતાળી આપીને બચેલી ત્રણ વર્ષની બાળકીને તેની નાનીના ઘરે આશરો મળ્યો. પણ જે બાળકી પહેલાં કિલકિલાટ કરતી હતી તેનું જીવન હવે ઘણા અંશે બદલાઈ ગયું હતું. 30 ફૂટની ઊંચાઈએથી જ્યારે તેની સગી દાદીએ તેને ખાડીમાં ફેંકી હતી એ ક્ષણ બાળમાનસ પર કાયમી ડર તરીકે કોતરાઈ ગઈ હતી. નાનીના ઘરે તેને શાંત કરવા માટે જ્યારે હીંચકામાં બેસાડવામાં આવતી ત્યારે એ માત્ર ૩ ફૂટની ઊંચાઈથી પણ ફફડી ઉઠતી અને ચીસો પાડવા લાગતી હતી. તેને લાગતું કે હીંચકો તેને ફરી એ જ ગંદી ખાડીમાં ફેંકી દેશે. એ નાની આંખોમાં હજુ પણ એ ભયાનક રાતના દૃશ્યો તરવરતા હતા. આ કેસમાં સૌથી ખૌફનાક ઘટનાક્રમ કોર્ટમાં બન્યો. કારણ કે પોતાની માતા અને ભાઈની હત્યાની સાક્ષી ત્રણ વર્ષી બાળકી હતી, તેણે કોર્ટમાં જુબાની આપી અને વર્ષોના અનુભવી વકીલોને સ્તબ્ધ કરી દીધા. સમયનું ચક્ર ફરતું રહ્યું અને ઘટનાના લગભગ ચાર વર્ષ સુધી આ કેસ કોર્ટમાં ચાલતો હતો. આ કેસ માત્ર સુરત કે ઉચ્છલ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે માનવતા અને રાક્ષસી વૃત્તિ વચ્ચે ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય અપવવાનો જંગ હતો. સરકારી વકીલ વિરેન્દ્ર એમ. ત્રિવેદી માટે આ કેસ એક પડકાર હતો. તેમણે કુલ 27 સાક્ષીઓની તપાસ કરી હતી, પણ આખા કેસનો સૌથી મજબૂત અને એકમાત્ર નજરે જોનાર સાક્ષી એક એવી માસૂમ હતી. જે પોતે હજુ માંડ બોલતા શીખી હતી. તપાસ દરમિયાન બાળકી આઘાતમાં હોવાથી પોલીસને કશું કહી શકી નહોતી. પરંતુ વકીલ વિરેન્દ્ર એમ. ત્રિવેદી જાણતા હતા કે આ માસૂમના મનમાં દબાયેલું સત્ય જ હત્યારાઓને જેલ ભેગા કરી શકે છે. તેમણે વિશેષ મંજૂરી લઈને બાળકીને કોર્ટમાં બોલાવી. કોર્ટના ગંભીર વાતાવરણમાં જ્યારે પાંચેક વર્ષની બાળકી ઉભી રહી ત્યારે આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. સામે જ તેના મમ્મી અને ભાઈના હત્યારા તેની પોતાની દાદી જમીલા, કાકા અફજલ, રૂક્શાના અને ઈમરાન ઉભા હતા. કોર્ટમાં બાળકીને કંઈક આ રીતે સવાલ કરવામાં આવ્યા…સવાલ- હું કોણ છું તે કહી શકો?જવાબ- ના સવાલ- આજે તમે ક્યાં આવ્યા છો તે કહી શકો?જવાબ- ના સવાલ- અહીં કયા વાહનમાં આવેલા છો?જવાબ- બસમાં સવાલ- કઈ બસ હતી?જવાબ- કઈ બસ હતી એ ખબર નથી. સવાલ- કઈ નિશાળમાં ભણો છો?જવાબ- સરકારી નિશાળમાં ભણું છું. સવાલ- કયા ધોરણમાં ભણો છો?જવાબ- પહેલાં ધોરણમાં ભણું છું. સવાલ- તમારા શિક્ષકનું નામ શું છે?જવાબ- ખતીજા સવાલ- જુઠું બોલીએ તો શું થાય?જવાબ- ગુન્હા હોતા હૈ. આટલા સવાલો પછી નક્કી થયું કે બાળકી સોગંદનું મહત્વ સમજે છે. કોર્ટના આદેશ પછી બાળકીની જુબાની નોંધવાનું નક્કી કરવામાં આવ્યું. બાળકીએ કોર્ટમાં અલગ-અલગ સવાલો જવાબ આપ્યા. એમાં તેણે જણાવ્યું કે મારી માતાનું નામ સમીમબાનું તથા પિતાનું નામ જબ્બાર છે. મારે અત્યારે કોઈ ભાઈ નથી. મારી મમ્મીને મારી નાખેલ છે. આ જણાવતા વખતે બાળકીએ જમણા હાથથી ગળા ઉપર ફેરવીને ઈશારો પણ કર્યો. બાળકીએ એ પણ જણાવ્યું કે જ્યારે એની મમ્મીની હત્યા થઈ ત્યારે રાતનો સમય હતો. તેના કહ્યા મુજબ, મારી દાદીએ, પપ્પાના ભાઈએ તથા સાવકી મા અને સાવકી માના ભાઈએ આવું કર્યું હતું. જો કે બાળકીને સ્થળની કોઈ સમજ ન હતી. જ્યારે બાળકીને આ ઘટના વિશે ડિટેલમાં પૂછવામાં આવ્યું તો તેણે જમણા હાથનો ઈશારો કરી ગળા ઉપર ફેરવ્યો અને પછી કાંઈ બોલી નહીં. માતાની હત્યા વિશે પૂછેલા અન્ય એક સવાલના જવાબમાં તેણે જમણા હાથથી પેટમાં ચાકુ માર્યાનો ઇશારો કર્યો હતો. બાળકીએ એવું પણ કહ્યું કે મને અને મારા નાનાભાઈને અમારા ઘર પાસે લઈ જઈને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. મારો નાનો ભાઈ ડૂબી ગયો હતો. હું જીવતી રહી ગયેલી. મને બે અજાણ્યા માણસોએ પાણીમાંથી બહાર કાઢી હતી એટલી ખબર છે. પરંતુ એ લોકોના નામ ખબર નથી. કોર્ટમાં બાળકીને હળવેથી આવી કેટલીક વાતો કહી, કેટલાકમાં ઇશારા કર્યા. અંતે બાળકી પાસે આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી. જેમાં બાળકીએ ઉભા થઈને દરેક આરોપીઓને એક પછી એક ઓળખી બતાવ્યા. તેણીના દાદી, કાકા, સાવકી મા અને સાવકી માનો ભાઈ તમામ લોકોને બાળકી જાણતી હતી. 30 એપ્રિલ, 2018ના રોજ વ્યારા સેશન્સ કોર્ટ ભરચક હતી. કારણ કે આ કેસનો ચાર વર્ષ બાદ ચુકાદો આવવાનો હતો. સેશન્સ જજ પી.બી. શ્રીવાસ્તવે આ કેસમાં બાળકીની જુબાનીને ગ્રાહ્ય રાખી. તેમણે નોંધ્યું કે ભલે આ સાક્ષી નાની છે પણ તેના શબ્દોમાં કોઈ છળકપટ નથી. ન્યાયાધીશે ચારેય આરોપીઓ જમીલા, અફજલ, રૂક્શાના અને ઈમરાનને દોષિત જાહેર કર્યા. અને દરેકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એટલું જ નહીં, દરેકને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ રકમ એટલે કે કુલ 60 હજાર રૂપિયાની રકમ બાળકીના નામે ફિક્સ ડિપોઝીટમાં મૂકવાનો હુકમ કર્યો, જેથી જ્યારે તે પુખ્ત વયની થાય ત્યારે તેના ભવિષ્યમાં કામ લાગે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
તારીખ 15 જુલાઈ 2025, મંગળવાર સમય: રાત્રે 1 વાગ્યાની આસપાસ સરખેજ, અમદાવાદ રાતના અંધકારમાં એક પુરુષ સરખેજના ઇન્દિરા નગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. એક ફ્લેટના દરવાજા પાસે પહોંચીને એણે દરવાજા પર જોર જોરથી હાથ પછાડ્યા. ઘરમાં સૂતેલી સ્ત્રી અચાનક હબકીને જાગી ગઈ. એને થયું કે આવી મોડી રાત્રે કોણ આવ્યું હશે? ત્યાં જ એણે બહારથી અવાજ સાંભળ્યોઃ ‘દરવાજો ખોલ, દિલશાદ… મારી ઊંઘ ઉડાડીને તું ચેનની નિંદ સૂવે છે?’ આટલું સાંભળીને બેઠી થયેલી દિલશાદને પેટમાં ફાળ પડી. આ અવાજ એ વર્ષોથી સાંભળતી હતી. રાધર, એનાથી ત્રાસીને જ તો એ અહીં આવી ગઈ હતી અને હવે આ માણસ અહીં એનું બે ઘડીનું સુખ પણ ડહોળવા આવી ગયો! દિલશાદ અવઢવમાં હતી કે દરવાજો ખોલું કે નહીં. ત્યાં જ ફરીથી દરવાજા પર હથોડા પડતા હોય એવો થડકાર થયોઃ ‘દરવાજો ખોલ, સ્સા… તારા યારને પણ ઉઠાડ… એને કહે કે જહન્નમ પહોંચાડવા માટે એનો ફરિશ્તો આવ્યો છે… ખોલ નહીં તો દરવાજો તોડતાં મને વાર નહીં લાગે.’ દિલશાદે ધ્રૂજતા હાથે દરવાજો ખોલ્યો, ત્યાં તો દરવાજો ઊભેલો માણસ એને ધક્કો મારીને ઘરમાં ધસી આવ્યો. ‘ક્યાં છે એ ગદ્દાર? આજે હું એને જીવતો છોડવાનો નથી.’ ‘તું અડધી રાત્રે અહીં શા માટે આવ્યો છે? જતો રહે. મારે તારું મોઢું પણ નથી જોવું.’ દિલશાદે અડધી રાત્રે ઘરમાં ધસી આવેલા એ માણસને રોકવાનો પ્રયાસ કર્યો, પણ એણે એક જ ધક્કે દિલશાદને હડસેલી નાખી. ‘તુ મેરેકુ ક્યા નિકાલેગી? તેરે યાર કો બુલા, આજ તો ઉસકા મેં ખેલ ખતમ કર દૂંગા…’ એ બરાડ્યો. આ રાડારાડ સાંભળીને અંદરથી એક પુરુષ દોડતો બહાર આવ્યો. એને જોઇને ઘરમાં ઘૂસી આવેલા માણસની આંખોમાં લોહી ધસી આવ્યું. એણે કમરે સંતાડી રાખેલો છરો કાઢ્યો અને ‘સ્સા…’ કહેતો તેના તરફ દોડ્યો. અંદરથી બહાર આવેલા માણસને મોત દેખાયું અને એ અંદર ભાગ્યો. એ માંડ બે ડગલાં દૂર ગયો હશે, ત્યાં હુમલાખોરે એની પીઠમાં છરો ભોંકી દીધો. પીડાથી એણે કારમી ચીસ પાડી ને ત્યાં જ ફસડાઈ પડ્યો. ‘લાલ ઇશ્ક’ના આજના એપિસોડનો કિસ્સો ક્લાસિક ‘પતિ, પત્ની ઔર વોહ’નો છે. પતિથી કંટાળેલી સ્ત્રી કોઈ બીજા પુરુષના પ્રેમમાં પડે, લગ્નમાં તસુભાર પણ પ્રેમ બચ્યો ન હોય, છતાં પુરુષ સ્ત્રી પર પોતાનો માલિકી હક ન છોડે ત્યારે કેવું લોહિયાળ પરિણામ આવે તે આજથી છએક મહિના પહેલાં જ અમદાવાદમાં જોવા મળ્યું. સરફરાઝે નઝમાને કહી દીધું, ‘તલાક, તલાક, તલાક’ વાત જાણે એવી છે કે 2010માં અમદાવાદના સરફરાઝના નિકાહ ફતેવાડી વિસ્તારમાં રહેતી નઝમા સાથે થયા હતા. સરફરાઝ અને નઝમાને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. દીકરો 12 વર્ષનો છે અને એક દીકરી 14 વર્ષની તથા સૌથી નાની દીકરીની ઉંમર 6 વર્ષ છે. પરંતુ સંતાન હોય તેનો અર્થ એ નથી કે પતિ-પત્ની વચ્ચે પ્રેમ છે અને બંને વચ્ચે બધું સમુંસૂતરું ચાલે છે. લગ્ન થયા બાદ નઝમા અને સરફરાઝ વચ્ચે અવાર નવાર કોઈ ને કોઈ વાતે ઝઘડા થતા રહેતા. 2022-23માં તો બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થયો કે ગુસ્સે ભરાયેલા સરફરાઝે ત્રણ વાર ‘તલાક, તલાક, તલાક’ બોલીને નઝમાને ટ્રિપલ તલાક આપી દીધા હતા. જોકે તલાક આપ્યા બાદ પણ બાળકોને કારણે સરફરાઝ અને નઝમા એક જ ઘરમાં સાથે રહેતાં હતાં. નજમાને બહાદુર મળ્યો, સરફરાઝને દિલશાદ પતિ સરફરાઝ સાથે વારંવાર અણબનાવ બનતાં નઝમા અમુક વાર રિસાઈને પિયરમાં જતી રહેતી હતી. પતિથી કંટાળેલી નજમા ક્યાંક ઇમોશનલ સધિયારો શોધતી હતી, જે એને મળ્યો બહાદુરમાં. પિયરમાં રહેતી હતી ત્યારે એને બહાદુર નામના યુવાન સાથે આંખ મળી ગઈ. નજમાને બહાદુર મળ્યો, જ્યારે સરફરાઝને મળી દિલશાદ. સરફરાઝ અને દિલશાદના મળવાની કહાની પણ રસપ્રદ છે. પરંતુ પહેલાં આપણે નજમાની કહાની પૂર્ણ કરીએ. નજમાને બહાદુર સાથે પ્રેમ થઈ જતાં એણે સરફરાઝને તલાક આપીને બહાદુર સાથે નિકાહ કરી લીધા. નજમા પોતાની સાથે તેની એક દીકરીને લઈ ગઈ હતી, જ્યારે બીજી દીકરી અને દીકરો સરફરાઝ જોડે હતાં. દોસ્તારની પત્નીના જ પ્રેમમાં પડી ગયો સરફરાઝ એક બાજુ નજમાએ બહાદુર સાથે નિકાહ કરી લીધા. બીજી બાજુ સરફરાઝ દિલશાદના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હતો. સરફરાઝ પોતાના એક મિત્ર ઝાકીર સાથે ડેકોરેશનનું કામ કરતો હતો. આ મિત્રતા થકી સરફરાઝ ઝાકીરની પત્ની દિલશાદના સંપર્કમાં આવ્યો હતો. અમુક વાર સરફરાઝ ઝાકીરના ઘરે પણ જતો હતો, જ્યાં સરફરાઝ અને (ઝાકીરની પત્ની) દિલશાદની નજર મળી અને બંને વચ્ચે મિત્રતા થઈ. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. રસપ્રદ વાત એ હતી કે દિલશાદ અને તેના પતિ ઝાકીરના પણ અવાર નવાર ઝઘડા થતા રહેતા. ઘણી વખત તો દિલશાદે ઝાકીરની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ઝાકીર તેની પત્ની દિલશાદ સાથે મારઝૂડ કરવાના કેસમાં લોકઅપની હવા પણ ખાઈને આવ્યો હતો. દિલશાદ અને ઝાકીર બંને વચ્ચે ઝઘડા સતત વધતા ગયા અને દિલશાદ સરફરાઝની નજીક આવતી ગઈ. સાત સંતાનોનાં માતા-પિતાએ લિવ-ઇનમાં નવું ઘર માંડ્યું! આખરે એક સમય એવો આવ્યો કે ઝાકીરથી કંટાળીને દિલશાદ સરફરાઝ જોડે રહેવા આવતી રહી. સરફરાઝના તેની પહેલી પત્ની નજમા સાથે તો તલાક થઈ ગયા હતા, પરંતુ દિલશાદના ઝાકીર સાથે તલાક નહોતા થયા, એટલે બનાવ બન્યાના સાત-આઠ મહિના પહેલાંથી સરફરાઝ અને દિલશાદ બંને જુહાપુરામાં અંબર ટાવર પાસે સરફરાઝની બહેન અને મમ્મીના ઘરે લિવ ઈનમાં રહેતાં હતાં. ઝાકીરને દિલશાદ અને સરફરાઝના પ્રેમની ખબર પડી એટલે બંનેની દોસ્તી તાત્કાલિક દુશ્મનીમાં પલટાઈ ગઈ. ઇતિહાસ ગવાહ છે કે મિત્રો જ્યારે શત્રુ બને છે, ત્યારે તેનો અંજામ લોહિયાળ આવતો હોય છે. મા-બાપનાં અફેરમાં સંતાનો રઝળી પડ્યાં એ ન્યાયે ઝાકીરે અવાર નવાર સરફરાઝને મારવાની ધમકી પણ આપી. થોડો સમય બંને જુહાપુરામાં રહ્યા બાદ ઝાકીરની ધમકીઓથી કંટાળીને સરફરાઝ અને દિલશાદ બહાર રહેવા જતાં રહ્યાં. પછી બનાવ બન્યાના ચાર મહિના પહેલાંથી તેઓએ સરખેજમાં ભાડે મકાન રાખ્યું અને બંને તેમનાં 1-1 બાળકો સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યાં. જ્યાં સરફરાઝનો એક દીકરો અને દિલશાદનો એક દીકરો બંને પોતાની સાથે લઈ ગયાં હતાં. જ્યારે સરફરાઝની એક દીકરી નઝમા પાસે હતી અને બીજી દીકરી સરફરાઝનાં મમ્મી અને બહેન પાસે હતી. જ્યારે દિલશાદની 2 દીકરીઓ અને અન્ય એક દીકરો ઝાકીરના પરિવાર પાસે હતાં. યાને કે ત્રણેય પરિવારો વચ્ચે સંતાનો વહેંચાયેલાં હતાં. ‘ગમે તેમ કરીને સરફરાઝને પતાવી જ દઇશ’ ચાર મહિના સુધી સરફરાઝ અને દિલશાદ ઝાકીરથી છુપાઈને રહ્યાં. પોતે જેને પોતાનો જિગરજાન દોસ્ત માનતો હતો એ સરફરાઝે જ પોતાની પત્ની પર નજર બગાડી અને પત્ની પણ તેના પ્રેમમાં પડી. અધૂરામાં પૂરું એની પત્ની દિલશાદ તલ્લાક આપ્યા વિના તેને છોડીને સરફરાઝ સાથે લિવ ઇનમાં રહેવા જતી રહી હતી. આ બધી વાતનું ખુન્નસ ઝાકીર પર સવાર થઇ ગયું હતું. હવે ઝાકીરના મનમાં સતત એક જ વાત ઘૂમતી હતી કે ગમે તેમ કરીને સરફરાઝને પતાવી દઉં. *** અડધી રાત્રે ઝાકીર છરો લઇને ધસી આવ્યો તારીખ 15 જુલાઈ 2025. મંગળવારની રાત્રે 1 વાગ્યાની આસપાસ સરખેજના ઈન્દિરા નગરમાં સરફરાઝ તેની પ્રેમિકા દિલશાદ અને બાળકો સાથે ઘરમાં સૂતો હતો. ત્યારે અચાનક ઘરનો દરવાજો જોર જોર ખખડ્યો. ઊંઘમાંથી ઊઠીને દિલશાદ દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતાં જ દિલશાદે જોયું કે અડધી રાત્રે તેના દરવાજે તેનો જ પતિ ઝાકીર ઊભો હતો. ‘તેરે યાર કો બુલા, આજ ઉસકા ખેલ ખતમ કર દૂંગા’ ‘તું અડધી રાત્રે અહીં શા માટે આવ્યો છે? જતો રહે. મારે તારું મોઢું પણ નથી જોવું.’ ઝાકીરને જોઇને દિલશાદનો ચહેરો તમતમી ગયો અને એણે ઝાકીરને ધુત્કારી કાઢ્યો. ‘તુ મેરેકુ ક્યા નિકાલેગી? તેરે યાર કો બુલા, આજ તો ઉસકા મેં ખેલ ખતમ કર દૂંગા…’ ઝાકીર બરાડ્યો. ઘરના દરવાજે જ બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ. અડધી રાતની શાંતિમાં ઝઘડાનો અવાજ સંભળાતાં સરફરાઝ પણ ઊંઘમાંથી ઊઠીને દરવાજે બહાર જોવા આવ્યો. સરફરાઝની પીઠમાં આખેઆખો છરો ભોંકી દીધો જેવો સરફરાઝ બહાર આવ્યો કે ઝાકીરનો પિત્તો છટક્યો. એણે પોતાના પેન્ટના પાછળના ભાગે સંતાડી રાખેલી છરી બહાર કાઢી. ઝાકીરના હાથમાં છરી અને આંખમાં શેતાન સવાર થયેલો જોઇને સરફરાઝે ભાગવા માટે પીઠ ફેરવી. એ સાથે જ ઝાકીરે પોતાનું બધું જ જોર લગાવીને સરફરાઝની પીઠમાં છરી હુલાવી દીધી. એણે એટલા જોશભેર છરી ભોંકી હતી કે છરીની આખેઆખી બ્લેડ સરફરાઝની પીઠમાં ધસી ગઈ. ભયંકર પીડાથી તરફડી ઊઠેલા સરફરાઝે કારમી ચીસ પાડી. દિલશાદ પણ પોતાના પ્રેમી સરફરાઝને બચાવવા વચ્ચે પડી અને ઝાકીરને ધક્કો માર્યો. પરંતુ ઝાકીરના ખુન્નસ સામે એનું કશું ન ચાલ્યું. સરફરાઝના શરીરમાંથી લોહીનો ધોધ વછૂટ્યો. એ ઊંહકારા કરતો ફસડાઈ પડ્યો. સરફરાઝની લોહીલુહાણ હાલત અને ચીસો પાડતી દિલશાદને જોઇને ઝાકીર ત્યાંથી છટકી ગયો. આ બધી બૂમાબૂમ અને દેકારા સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ સરફરાઝનું પ્રાણપંખેરું ઊડી ગયું. ડૉક્ટરોએ આવીને તેને મૃત જાહેર કર્યો. આ હત્યાનો પ્રયાસ, હવે હત્યામાં પલટાઈ ગયો હતો. ‘વિશાલા પાસેના ગોડાઉનમાં ઝાકીરનો અડ્ડો છે’ થોડીવારમાં વેજલપુર પોલીસ ત્યાં પહોંચી ગઈ. દિલશાદે સમગ્ર હકીકત પોલીસને વર્ણવી. દિલશાદે રડતાં રડતાં એ પણ કહ્યું કે, ‘ઝાકીર અહીંથી તો ભાગી ગયો છે, પણ એ વિશાલા રેસ્ટોરાં પાસેના એક ગોડાઉનમાં ગયો હશે. ત્યાં એની કાયમની બેઠક છે.’ પોલીસે જરાય સમય બગાડ્યા વિના તે ગોડાઉનમાં દરોડો પાડ્યો, તો ઝાકીર ત્યાં જ સંતાઈને બેઠો હતો. એનો કાંઠલો ઝાલીને બહાર કાઢ્યો અને પકડીને લઈ ગયા. હત્યારાની પત્ની જ મર્ડરની મુખ્ય સાક્ષી બની આ હત્યા કેસની ગંભીરતા જોતાં પોલીસે દિલશાદને પણ શકના દાયરામાં રાખી અને તેની અટકાયત કરીને પોલીસ તેની પૂછપરછ કરી. પરંતુ ઝાકીર અને દિલશાદની પૂછપરછ બાદ પોલીસને ખાતરી થઇ ગઇ કે આ હત્યામાં દિલશાદની કોઈ સંડોવણી નથી. ફાઇનલી, ઝાકીરને જેલ હવાલે કરાયો અને દિલશાદને આ કેસની મુખ્ય સાક્ષી બનાવી. આ ઘટના બાદ ઝાકીર જેલમાં ગયો અને આજે પણ જેલમાં છે. પતિ જેલમાં, પ્રેમીની હત્યા, પત્નીએ ત્રીજા નિકાહ કરી લીધા! સરફરાઝનું મોત થતાં તેના ઘરના લોકોએ સરફરાઝના એક દીકરાને મદરસામાં મૂકી દીધો. એક દીકરી અત્યારે સરફરાઝના ઘરના લોકો પાસે રહે છે, જ્યારે અન્ય એક દીકરી તો તેની પ્રથમ પત્ની નજમા પાસે જ રહે છે. જ્યારે ઝાકીર અને દિલશાદનાં ચાર બાળકો ઝાકીરના પરિવારના લોકો પાસે છે. જ્યારે સરફરાઝના પરિવારના જણાવ્યા મુજબ તે લોકોને એવી શંકા છે કે, દિલશાદે ત્રીજા નિકાહ કરી લીધા છે. જોકે આ વાત તેઓ ખાતરીપૂર્વક નથી કહી રહ્યા. અને હાલમાં દિલશાદ ક્યાં છે કોની પાસે રહે છે તેની કોઈ જાણકારી સરફરાઝના પરિવારના લોકોને નથી. પતિ, પત્ની બંનેનાં એક્સ્ટ્રા મેરિટલ અફેર! આ કેસની ઇનસાઇડ ઇન્ફર્મેશન મેળવવા માટે દિવ્ય ભાસ્કરે મૃતક સરફરાઝના પરિવારનો સંપર્ક કર્યો. સરફરાઝની માતા શુગરાબાનુએ જણાવ્યું કે, ‘એક વખત નજમા ત્રણેય છોકરાઓને મૂકીને જતી રહી હતી. પછી ફરીથી સરફરાઝ સાથે આવી ગઈ. નજમા ગમે ત્યારે સરફરાઝને છોડીને જતી રહેતી હતી, જેના કારણે અમે ખૂબ હેરાન થતાં હતાં. જોકે થોડા સમય પછી પાછી પણ આવી જતી હતી. જ્યારે સરફરાઝને નજમાના બહાદુર સાથેના અફેરની ખબર પડી, ત્યારે સરફરાઝે નજમાને સમજાવી કે, તું પરત આવી જા. પરંતુ અહીં સરફરાઝ તો દિલશાદ જોડે રહેવા લાગ્યો હતો, જેથી નજમા પાછી નહોતી આવતી.’ સરફરાઝની માતાએ વધુમાં ઉમેર્યું કે, ‘સરફરાઝે દિલશાદને કહી દીધેલું કે, તું તારા પતિ ઝાકીર જોડે જતી રહે, પરંતુ અહીં દિલશાદ જતી નહોતી અને નજમા આવતી નહોતી એટલે સરફરાઝ હેરાન પરેશાન રહેતો હતો. નજમાએ બહાદુર જોડે નિકાહ કરી લીધા હતા અને સરફરાઝ અને દિલશાદ લિવ ઈન રિલેશનશિપમાં રહેતાં હતાં. સરફરાઝ જ્યાં એક ફાર્મ પર કામ કરતો હતો ત્યાં પણ દિલશાદ સરફરાઝ જોડે રહેવા જતી રહી હતી. જોકે બંનેએ નિકાહ કર્યા નહોતા એટલે ફાર્મવાળાઓએ દિલશાદને સરફરાઝ સાથે રહેવા ન દીધા. એટલે સરફરાઝ એક મહિનો તેની બહેનના ઘરે જુહાપુરામાં રહ્યો.’ ‘સરફરાઝ મને મળશે, તો ચાકુ મારી દઇશ’ સરફરાઝની માતાના કહેવા પ્રમાણે આ સમય દરમિયાન દિલશાદના પતિ ઝાકીરે સરફરાઝને ઘરે આવીને ધમકી પણ આપી હતી કે, સરફરાઝ મળશે તો હું તેને ચાકુ મારી દઈશ. ઝાકીર જ્યારે ઘરે આવ્યો ત્યારે સરફરાઝ ઘરે હાજર નહોતો એટલે ઝાકીર ધમકી આપીને જતો રહ્યો. ઝાકીરની ધમકી બાદ સરફરાઝની બહેન ડરી ગઈ અને તેણે સરફરાઝ અને દિલશાદને કહી દીધું કે, તમે બંને હવે અહીંથી જતાં રહો અને અન્ય કોઈ જગ્યાએ ઘર ભાડે રાખીને રહો. જો ફરીથી ઝાકીર આવશે અને કંઈ બનાવ બની જશે તો શું જવાબ આપીશું? પછી અહીંથી બંને સરખેજમાં એક મકાનમાં ભાડે રહેવા જતાં રહ્યાં. ‘મને ખબર નહોતી કે એ મારા દીકરા સાથે છેલ્લી વાતચીત હશે’ ‘જે રાત્રે સરફરાઝની હત્યા થઈ તે જ દિવસે બપોરે 4 વાગ્યે સરફરાઝનો મારા પર ફોન આવ્યો હતો.’ સરફરાઝનાં માતા ભીની આંખે કહે છે, ‘એણે મને પૂછ્યું હતું કે, મમ્મી કંઈ ખર્ચો મોકલાવું? ત્યારે મેં ના પાડી અને કહ્યું કે, ના બેટા અમે અમારું ગુજરાન પૂરું કરી લઈશું. તમે લોકો શાંતિથી બે ટાઈમ જમો અને ખુશ રહો.’ બાદમાં સરફરાઝે કહ્યું કે, ‘મમ્મી હું કાલે રાજસ્થાન આવું છું.’ સરફરાઝનાં મમ્મીની સાસરી રાજસ્થાનમાં છે, એટલે તેઓ ત્યાં હતાં. સરફરાઝે રાજસ્થાન આવવાનું કહ્યું તો તેની માતાએ કહ્યું કે, વાંધો નહીં બેટા, આવી જજે. પરંતુ તે પહેલાં રાત્રે 1 વાગ્યે તો સરફરાઝની હત્યા થઈ ગઈ. ‘જ્યારે મારી અને સરફરાઝની મોબાઈલ પર વાત થઈ ત્યારે મને સપનેય ખ્યાલ નહોતો કે, મારી અને મારા દીકરા સરફરાઝની આ છેલ્લી વાતચીત હશે. મને મારો છોકરો એટલો પ્રેમ કરતો હતો કે મને કંઈ તકલીફ પણ નહોતો પડવા દેતો.’ સરફરાઝનાં મમ્મી પોતાની આંખો લૂછતાં કહે છે. દિલશાદનાં કપડાં પર લોહીનો એકેય ડાઘ કેમ નહોતો? સરફરાઝનાં મમ્મી સાથેની વાતચીતમાં તેની પ્રેમિકા દિલશાદની ભૂમિકા સામે પણ શંકાની સોય ઊભી થઈ હતી. તેમના કહેવા પ્રમાણે જ્યારે અડધી રાત્રે ઝાકીરે સરફરાઝ પર હુમલો કર્યો ત્યારે જો દિલશાદ તેને અટકાવવા માટે વચ્ચે પડી હોત તો તેનાં કપડાં ઉપર લોહીનો ડાઘ દેખાયો હોત. પરંતુ તેને એક ઘસરકો પણ નહોતો પડ્યો, કે તેનાં કપડાં પર કોઈ ડાઘ પણ નહોતો. ‘... તો મારો દીકરો આજે જીવતો હોત’ સરફરાઝનાં મમ્મી કહે છે, ‘આ બનાવ પછી મેં દિલશાદને કહ્યું હતું કે, જો તેં ઘરનો દરવાજો ન ખોલ્યો હોત તો આજે સરફરાઝ જીવતો હોત. મારો સરફરાઝ ગુજરી ગયા બાદ 20-22 દિવસ સુધી દિલશાદ અહીં જુહાપુરામાં અમારા ઘરે રહી હતી. આ દરમિયાન અમે તેને અમારી દીકરીની જેમ જ રાખી હતી. પરંતુ આટલા દિવસોમાં તેનું મોઢું જોઈને અમને લાગ્યું જ નહીં કે તેને કોઈ અફસોસ હોય. ક્યારેક અમે સરફરાઝને યાદ કરીને રડતાં હતાં, ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળતાં હતાં, બસ. એ સિવાય કશું જ નહીં.’ ‘તારે લીધે મેં મારો એકનો એક દીકરો ગુમાવ્યો’ ‘20-22 દિવસ બાદ દિલશાદ અમને એવું કહીને નીકળી કે, સરખેજના મકાનનું લાઈટ બિલ ભરીને આવું છું. આ સરખેજવાળું એ મકાન હતું કે, જ્યાં સરફરાઝ અને દિલશાદ ભાડે રહેતાં હતાં અને આ જ મકાનમાં ઝાકીરે સરફરાઝની હત્યા કરી હતી. દિલશાદ લાઈટ બિલ ભરવા ગઈ ત્યારે અમે તેને કહ્યું કે, તારા કારણે અમે અમારો એકનો એક દીકરો ગુમાવી દીધો છે. હવે અમે કંઈ વધારે ગુમવવા નથી માંગતા. તને જો સરફરાઝ પ્રત્યે પ્રેમ હોય તો, 40ની ફાતિહા પર આવી જજે (આ મુસલમાનોની એક ધાર્મિક વિધિ છે જે મૃત વ્યક્તિના મૃત્યુના 40 દિવસ પછી કરવામાં આવે છે.) પરંતુ દિલશાદ 40ની ફાતિહા પર આવી જ નહીં. એટલે પછી અમે તેની સાથે ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું.’ સરફરાઝનાં માતા પોતાની વાત પૂરી કરતાં કહે છે. ‘પ્રેમીની હત્યા થઈ, પણ દિલશાદના ચહેરા પર કોઈ દુઃખ નહોતું’ સરફરાઝની બહેન સમશાદ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘અમારા ઘરનો મુખ્ય માણસ, અમારો ભાઈ સરફરાઝ હતો. જ્યારે સરફરાઝના જીવનમાંથી નજમા ગઈ પછી તેના જીવનમાં આ દિલશાદ આવી એટલે અમે તેની ખુશી માટે કહ્યું કે, તું દિલશાદ જોડે ખુશ છે અને તેની સાથે જીવન વિતાવવા માગે છે, તો તેની સાથે તું ખુશ રહે. પરંતુ આ દિલશાદના દિલમાં શું ચાલતું હતું તે અમને ખબર નહોતી. કારણ કે, સરફરાઝના મોત બાદ દિલશાદના ચહેરા પર કોઈપણ જાતનું દુ:ખ દેખાતું નહોતું. આજે સરફરાઝનાં ત્રણેય સંતાન યતીમ (અનાથ) થઈ ગયાં. માતા નજમાએ તો જીવતે જીવ તેમને છોડી દીધાં હતાં. હવે સરફરાઝ પણ અલ્લામિયાંને પ્યારો થઈ ગયો. આજે એક છોકરો મદરસામાં રહે છે, જ્યારે એક દીકરી હાલમાં અમે સાથે રાખીએ છીએ. આજે અમારાં મમ્મીનો કોઈ સહારો નથી રહ્યો. અમારો જે પણ કંઈ સહારો હતો તે અમારો એકનો એક ભાઈ સરફરાઝ હતો.’ ‘મારા ભાઈને મારી નાખ્યો, હવે અમારે એની સાથે કોઈ સંબંધ નથી’ મૃતક સરફરાઝની પ્રેમિકા દિલશાદ પ્રત્યેનો રોષ પણ સરફરાઝની બહેનના શબ્દોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તે કહે છે, ‘હવે જો દિલશાદ અમારા ઘરે રહેવા આવશે તો પણ અમે રહેવા નહીં દઈએ. સરફરાઝના ગયા પછી અમારો તેની સાથે હવે કોઈ સંબંધ નથી રહ્યો. કારણ કે, મારા ભાઇએ તેની સાથે નિકાહ નહોતા કર્યા. બંને લિન ઈનમાં રહેતાં હતાં. ઘરમાંથી અમે દિલશાદની વસ્તુઓ પણ કાઢી નાખી છે. આ તો બનાવ બન્યા બાદ ઝાકીર ભાગી ગયો હતો અને તેને પકડાવવામાં દિલશાદે પોલીસને મદદ કરી હતી એટલે અમે તેને આટલા દિવસ રાખી હતી. અમને કોઈની પાસેથી કોઈ રુપિયા નથી જોઈતા. જેણે અમારા ભાઈને માર્યો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમને એવી પણ વાતો જાણવા મળે છે કે, દિલશાદે ત્રીજા નિકાહ પણ કરી લીધા છે. પરંતુ આ બાબતે અમારી પાસે ચોક્કસ જાણકારી નથી.’ ‘તમારા ભાઈને ચાકુ વાગ્યું છે, જલદી આવી જાઓ’ બે પુખ્ત વયનાં પરિણીત પ્રેમીઓ વચ્ચેની લવસ્ટોરીનો કરુણ અંજામ આવ્યો. તે અંગે અમે સરફરાઝનાં મોટાં બહેન શિરીનબાનુ સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, જ્યારે બનાવ બન્યો 15 જુલાઈ 2025ની રાત્રે 12-1 વાગ્યાની આસપાસ દિલશાદનો મારી ઉપર ફોન આવ્યો અને કહ્યું કે, તમારા ભાઈને ચાકુ વાગ્યું છે. ફક્ત આટલું કહ્યું અને ફોન કટ થઈ ગયો. મેં ગભરાઇને તરત મારાં બીજાં બહેનને ફોન કર્યો. એટલામાં તો દિલશાદનો મારી પર ફરીથી ફોન આવ્યો અને કહ્યું કે, તમારો ભાઈ મરી ગયો છે. મેં પૂછ્યું કે, કેવી રીતે? કોણે માર્યું? આ બધું કેવી રીતે થયું? આ બધું પૂછ્યું તો કહેવા લાગી કે, આ બધું કહેવાનો અત્યારે સમય નથી. તમે લોકો ફટાફટ અમારા ઘરે આવી જાઓ. તે વખતે સરફરાઝ અને દિલશાદ સરખેજના ઘરમાં ભાડેથી રહેતાં હતાં. હું અને મારી બહેન ફટાફટ ત્યાં પહોંચ્યાં તો જોયું તો ઘરના દરવાજે અને અંદર બધું લોહી હતું. ઘરની અંદર પાણીયારાએ માટલું ને અન્ય સામાન તૂટેલી હાલતમાં પડ્યો હતો. ઘરની બહાર પોલીસ ઘણી ગાડીઓ ઊભી હતી. અમને પોલીસે કહ્યું કે, તમે લોકો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચો સરફરાઝને એમ્બ્યુલન્સમાં ત્યાં લઈ ગયા છે.’ ‘ઝાકીરે દિલની પાછળ પીઠમાં ચાકુ મારી દીધું’ ‘અમે ત્યાં પહોંચ્યા તો દિલશાદ અમને ત્યાં જ મળી. એ કહેવા લાગી કે, રાત્રે 12 વાગ્યે અચાનક ઝાકીર ત્યાં આવ્યો અને દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો એટલે ઝાકીર મને ધક્કો મારીને ઘરની અંદર ઘસી આવ્યો અને સરફરાઝને જોઈને સીધો તેના પર હુમલો કર્યો. ઝાકીરે સરફરાઝને હૃદયના પાછળના ભાગમાં ચાકુ માર્યું હતું, જેથી મારો ભાઈ મરી ગયો. અમે દિલશાદને કહ્યું કે, તેં દરવાજો ખોલ્યો જ શા માટે? તારે દરવાજો ખોલવાનો જ નહોતો. જો તેં દરવાજો ન ખોલ્યો હોત તો, આજે મારો ભાઈ જીવતો હોત.’ સરફરાઝનો નવો ફોન ક્યાં ગયો? તેમાં શું હતું? ‘મારા ભાઈની હત્યા થઈ તેના ત્રણ દિવસ પહેલાં મારા ભાઈએ નવો ફોન લીધો હતો ત્યારે મારા ભાઇએ મને કહ્યું કે, મેં નવો ફોન લીધો છે તું ઘરે આવીને લઈ જા. ત્યારે મેં ભાઈને ના પાડી અને કહ્યું કે, તેં હજી હમણાં નવો ફોન લીધો છે તો તું વાપર, હું શું કામ વાપરું? બનાવ બન્યા બાદ મેં દિલશાદને પૂછ્યું કે, કે સરફરાઝે નવો ફોન લીધો હતો તે ક્યાં ગયો તો દિલશાદે કહ્યું કે, ફોન ખોવાઈ ગયો છે. મને ખબર નથી કે ફોન ક્યાં છે. આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ હજી સુધી ફોન મળ્યો નથી. મારા ભાઇની હત્યા કરી તેના 2 મહિના પહેલાં ઝાકીર અમારા ઘરે પણ આવ્યો હતો. ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે, સરફરાઝ મારી પત્ની સાથે દેખાશે તો હું તેને ચાકુ મારી દઈશ. આવી ધમકી આપ્યા બાદ મેં સરફરાઝની ઝાકીર સાથે ફોન પર વાતચીત કરાવી. જોકે બંને વચ્ચે શું વાતચીત થઈ તે મને ખબર નથી. ઇવન આ સરખેજનું સરનામું ઝાકીરને કોણે આપ્યું તેને ખબર હજી સુધી અમને નથી પડી.’ સરફરાઝનાં બહેન પોતાની વાત પૂરી કરે છે.
કાર્યવાહી:સુરતમાંથી ભરૂચના બૂટલેગરો માટે કારમાં દારૂ લાવતો ખેપિયો સકંજામાં
સુરતથી વૈભવી કારમાં બુટલેગરો માટે દારૂનો જથ્થો લઇ આવનારા ખેપિયાને એલસીબીએ ઝડપી પાડયો છે. કારમાંથી દારૂની 655 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ મોકલનારા તથા દારૂ મંગાવનારા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. કાર સહિત કુલ 6.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતથી ભરૂચના બુટલેગરો માટે એક કારમાં દારૂનો મોટો જથ્થો મોકલવામાં આવી રહયો હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી. પોલીસે કરજણ સિંચાઇ યોજનાના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી દારૂની 655 બોટલ મળી આવી હતી. કારમાંથી મળી આવેલાં દારૂની કિમંત 2.97 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે કાર સહિત કુલ 6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ સાથે ઝડપાયેલાં અને ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં રહેતાં મોહંમદ તોકીરની પૂછપરછ કરતાં તે સુરતથી દારૂ લાવીને ભરૂચના બુટલેગરોને આપવા માટે જઇ રહયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુરતના કડોદરાના સંજય પાટીલ સહિત સંજય દેસાઇ, હિતેશ, વલિદ, રાજેશ મિસ્ત્રી અને અલ્તાફને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સુવિધા:આમોદમાં ઘરથાળ યોજના હેઠળ 28 પ્લોટ મંજૂર
આમોદમાં ઘરથાળ પ્લોટ માટે 28 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જંબુસરના પ્રાંત અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીની અધ્યક્ષતામાં આમોદ તાલુકાની લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. જંબુસર ખાતે આવેલી એસડીએમ કચેરીમાં બેઠક યોજાઇ હતી. આમોદ તાલુકાના ઘરથાળ પ્લોટ મેળવવા પાત્ર લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણીના નિર્ણય અર્થે ગ્રામ્ય કક્ષાએથી આવેલ અરજીઓના નિકાલ કરવા અંગે, ગામની વિચરતી વિમુક્તિ જાતિનાલોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા, 100 ચોરસ વાર ગામતળ મંજુર કરવા અંગેવિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં આમોદ તાલુકાના કરેણા, ભીમપુરા, તેગવા, સરભાણ, ઘમણાદ, નાહિયેર, તણછા અને ઈટોલા ગામોના કુલ 28 જરૂરિયાતમંદ લોકોને સરકારીની મફત પ્લોટ સહાય હેઠળ મફત પ્લોટની મંજૂરી આપવામાં આવી હતી.આ મિટીંગમાં ગ્રામ્ય કક્ષાએથી 87 અરજી આવી હતી જેમાંથી 57 પુર્તતા કરી આગામી લેન્ડ કમિટીમાં મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં વિવિધ કચેરીઓના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં.
મહીલા અને બાળ વિકાસ વિભાગ મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ ગૃહવિભાગ, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં સાધના સ્કુલ ભરૂચ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સાઇબર સેફટી, સેલ્ફ ડિફેન્સ, અને એસએચઇ ટીમ સાથે સંવાદ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રીતેશ વસાવા, સેલ્ફ ડિફેન્સ કોચ મલેકભાઈ, એસએચઇ ટીમ માંથી હિનાબેન અને હેતલબેન, જિલ્લા મિશન કો ઓર્ડીનેટર સેજલ પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ હાજર રહેલ. જેમાં ધોરણ 9 થી 12ની શાળાની વિદ્યાર્થિનીઓને એસએચઇ ટીમ દ્વારા સાઇબર ક્રાઇમ, સાઇબર સેફટી અને સોશ્યલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે માહિતગાર કરેલ જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ જેમાં તેમણે દીકરીઓના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. સેલ્ફ ડિફેન્સ કોચ દ્વારા દીકરીઓને સ્વરક્ષણ અંગેની તાલીમ પ્રૅક્ટિકલ ડેમો દ્વારા આપવામાં આવેલ. જિલ્લા મિશન કો ઓર્ડીનેટર દ્વારા સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપી કુલ 173 દીકરીઓને માહિતગાર કરવામાં આવી હતી.
અરાજકતાનો માહોલ:કોર્ટ : પક્ષકારોને નવી તારીખ મળી, મામલતદાર- કલેક્ટર કચેરીમાં લોકોને ધક્કો
ભરૂચમાં મંગળવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં કોર્ટ તથા કલેકટર કચેરીમાં બોંબ મુકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઇમેલના પગલે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. કોર્ટ પરિસરમાં વકીલો, ન્યાયધીશો અને અરજદારો સહિત 1 હજારથી વધારે લોકોની હાજરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો બોંબ ડીસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડ સાથે કોર્ટ સંકુલમાં પહોંચી હતી. કોર્ટની ઇમારત તથા પરિસરમાંથી લોકોને બહાર કાઢી ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી. 3 કલાકથી વધારે સમય સુધી કોર્ટ સંકુલનો ખૂણે ખૂણો તપાસાયો હતો પણ કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. કોર્ટમાં તપાસ ચાલતી હતી તે સમયે કલેકટર કચેરીને પણ બોંબથી ઉડાવી દેવાનો ઇમેલ આવતાં કલેકટર કચેરી તથા મામલતદાર કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંને કલેકટર કચેરી ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી પણ અહીંથી પણ કઇ શંકાસ્પદ મળ્યું ન હતું. કોર્ટની કાર્યવાહી બંધ રહેતાં સુનાવણી સહિતની તમામ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને તમામ અરજદારોને સુનાવણી માટે નવી તારીખ આપવામાં આવી હતી. મામલતદાર કચેરી બંધ રહેતાં સૌથી વધારે સમસ્યા નડી હતી. હાલ મતદારયાદી સુધારણા અંતર્ગત નો– મેપિંગ થયેલાં મતદારો પાસે 2002ના પુરાવાઓ માગી તેમની સુનાવણી ચાલી રહી હોવાથી આ કામગીરી માટે આવેલાં અરજદારોને ધકકો પડયો હતો. 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી તપાસમાં કઇ વાંધાજનક ન મળતાં લોકો તથા તંત્રએ હાશકારો લીધો હતો. વિસ્ફોટકો શોધવા માટે ટાઇસન અને ઇગલની મદદ લેવાઇડોગ સ્કવોડના અભયભાઇ તથા નિલેશભાઇની ટીમ બે ડોગ ટાઇસન અને ઇગલને લઇને સ્થળ પર પહોંચી હતી. ટાઇસન બેલ્જીયન શેફર્ડ અને ઇગલ લેબ્રાડોર પ્રજાતિનો છે. બંને ડોગની મદદથી તમામ ઇમારતોની અંદર તથા બહાર તપાસ કરવામાં આવી હતી. વિશેષ પ્રકારની તાલીમ પામેલાં ડોગે વિસ્ફોટકો હોવાનો કોઇ સંકેત આપ્યો ન હતો. જો વિસ્ફોટક કે અન્ય વસ્તુઓની હાજરી હોય તો આ ડોગ તેને ગંધ પરથી ઓળખી નાંખે છે. વિસ્ફોટકોની હાજરી હોય તો તે જે તે જગ્યાએ ભસવા લાગે છે અને તે સ્થળે બેસી જાય છે. આ ડોગ તેના ટ્રેનરને ઇશારાથી જે તે જગ્યાએ વિસ્ફોટક હોવાનો ઇશારો કરે છે.
ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને દેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂકેલાં મહેશ વસાવાએ મંગળવારે કોંગ્રેસમાં જોડાય ગયાં છે. બીટીપીમાંથી મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતાં પણ ભાજપમાં તેમને મહત્વનું સ્થાન મળતું નહિ હોવાથી તે નારાજ હતાં અને 9 મહિના પહેલાં ભાજપના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યું હતું. આખરે હવે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયાં છે. તેમણે પક્ષ પલટાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, તેઓ સમાજના કચડાયેલા વર્ગ તથા અલ્પસંખ્યક સમાજનો અવાજ બનવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. વર્ષોથી અમારી અને કોંગ્રેસની વિચારધારા મળતી આવે છે. અમે હવે સાથે મળીને જળ, જંગલ અને જમીનની લડત લડીશું. ભાજપ સમાજને વેર-વિખેર કરવાનું કામ કરે છે. તેમની નીતિ 'ભાગલા પાડો અને રાજ કરો'ની છે. મહેશ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની 'બી-ટીમ' છે. તે કોંગ્રેસના વોટ કાપવાનું કામ કરે છે અને ભાજપ તેને પ્રોત્સાહન આપે છે. જીતવાના મતો તોડવાની આ રમત હવે ચાલવાની નથી. દેડિયાપાડામાંથી ફરી ચૂંટણી લડવાનો માર્ગ મોકળોમહેશ વસાવા અગાઉ બે વખતદેડિયાપાડા વિધાનસભા બેઠક પરવિજય મેળવી ચૂકયાં છે. દેડિયાપાડા બેઠક પર વર્ચસ્વ ધરાવતાં કોંગ્રેસના પૂર્વધારાસભ્ય અમરસિંહ વસાવાનું તાજેતરમાં નિધન થયું છે. દેડિયાપાડામાં હાલકોંગ્રેસ પાસે કોઇ મજબૂત ચહેરો નથી અને દેડિયાપાડામાં હાલ આપના ચૈતરવસાવાનો પ્રભાવ વધી રહયો છે. ચૈતર વસાવા રાજકારણના દાવપેચ છોટુ વસાવાઅને મહેશ વસાવા પાસેથી શીખ્યાં છે. આવા સંજોગોમાં આગામી વિધાનસભાનીચૂંટણીમાં કોંગ્રેસ મહેશ વસાવાને દેડિયાપાડામાંથી ઉમેદવાર બનાવે તેવીસંભાવના છે. બીજી તરફ આખા રાજકીય ઘટનાક્રમ અંગે સાંસદ મનસુખવસાવાએ જણાવ્યું હતું કે, તેમણે સારો નિર્ણય લીધો છે અને જો રાજકારણ માંઆગળ વધવું હોઈ તો ઝઘડિયા વિધાનસભા જ પકડી રાખવી પડશે.
આંતરિક બદલી:ભરૂચ જિલ્લાના 200 માંથી 150 જેટલા શિક્ષકોને આંતરિક બદલી હુકમ મળ્યા
ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલી નો પ્રથમ રાઉન્ડ પૂર્ણ હવે બીજા રાઉન્ડનો પ્રારંભ થયો. પહેલા રાઉન્ડમાં 150 જેટલા શિક્ષકોને પસંદગીની ગયા મળી જ્યારે 50 જેટલા શિક્ષકોને તેમની પસંદગીની જગ્યા મળી નહીં. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શાળાના 250 જેટલા શિક્ષકોએ જિલ્લા આંતરિક બદલી માટે લૉગિન કર્યું હતું. તેમાંથી 200 જેટલા શિક્ષકો ની અરજી પ્રાથમિક શિક્ષણ વિભાગને મળી હતી. જે તમામ અરજીની નિયમો મુજબ તપાસ કરીને નિયામકની કચેરીએ મોકલવામાં આવી હતી. ત્યારબાદ 150 જેટલા શિક્ષકોને જિલ્લા આંતરિક બદલીના ઓનલાઈન ઓડર થયા છે. જે કિસ્સામાં એક્જ શાળામાં એક જગ્યા માટે એક થી વધુ શિક્ષકે અરજી કરી હશે. તો શિક્ષકોની શાળામાં દાખલ તારીખ મુજબ પ્રાથમિકતા આપવામાં આવી છે. આમ 50 જેટલા શિક્ષકોને તેમની પસંદગી જગ્યા મળી ન હતી. જિલ્લા આંતરિક ફેર બદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગત રોજ થી બીજા રાઉન્ડ ચાલુ થતાં આંતરિક બદલી માટે શિક્ષકો અરજી કરી જેતે શાળામાં ખાલી જગ્યા માટે અરજી કરી શકશે. પ્રાથમિક શિક્ષકો આંતરિક બદલી માટે બે દિવસ દરમિયાન બદલી માટે ફોર્મ ભરશે. ત્યારબાદ ફોર્મની ચકાસણી તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. અરજી તપાસી ફોર્મ મંજૂર ના મંજૂર કરવાની પ્રક્રિયા ચાલશે. અને 16 જાન્યુઆરી એ મંજૂર થયેલ અને શિક્ષકોને નિયમ મુજબ બીજા રાઉન્ડ ના હુકમ ઓનલાઇન જારી કરવામાં આવશે.
લોકોના આરોગ્ય સાથે ચેડા:ગોવિંદીમાં ભેળસેળયુક્ત પનીરનું ગોડાઉન ઝડપાયું
ગોધરાના ગોવિંદી ગામે ગોડાઉનમાં એસઓજી પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને છાપો મારીને ભેળસેળ યુક્ત 105.320 કિલોગ્રામ પનીરના જથ્થા સાથે એકને પકડી પાડયો હતો. ઉલ્લેખનિય છે કે, આ વેપારી મહેસાણાથી શંકાસ્પદ પનીર મંગાવીને છેલ્લા ઘણા સમયથી વેચાણ કરતો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા પનીરના સેમ્પલ લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. રાજ્યમાં આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ અંગે સઘન ચેકિંગ કરવા આદેશ અપાયો હતો. ત્યારે ગોધરાની ધનેશ્વરી સોસાયટીમાં રહેતો કિશન સુભાષભાઇ વિરવાણીએ ગોધરાના ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં પોતાના કબજાના ગોડાઉનમાં શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ કરવા માટે રાખ્યો છે. તેવી બાતમી એસઓજીને મળતા પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને ગોવિંદી ગામના ગોડાઉન પર છાપો માર્યો હતો. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા શંકાસ્પદ 105.320 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લઇને લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. પોલીસે રૂા.24,223ના ભેળસેળયુક્ત પનીરના 105 કિલો જથ્થા સાથે કિશન વિરવાણીની અટકાયત કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા આ પનીરનો જથ્થો મહેસાણા ખાતેથી લાવ્યો હતો. ભેળસેળવાળુ પનીર હાઇવે પરની હોટલો પર વેચાણ કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. કિશન વિરવાણી છેલ્લા ઘણા સમયથી મહેસાણાથી ભેળસેળ પનીરનો જથ્થો મંગાવીને વેચાણ કરતો હતો. એસઓજીએ પનીરનો જથ્થો કબજે કરીને સમગ્ર મામલાની તપાસ ગોધરા શહેર એ ડિવિઝનને સોપી હતી. ફૂડ વિભાગે લેબોરેટરીમાં મોકલેલ શંકાસ્પદ પનીરનો રિપોર્ટ 14 દીવસમાં આવી જશેનું જાણવા મળી રહ્યુ છે. વનસ્પતિ તેલમાં મિક્ષ કરીને પનીર બનાવતા હતાવનસ્પતિ તેલ મિક્ષ કરી બનાવેલું ભેળસેળીયું “પનીર” આરોગ્ય માટે યોગ્ય નથી. કારણ કે એ મૂળ દૂધમાંથી બનતું નથી, પરંતુ સસ્તું બનાવવા માટે વનસ્પતિ તેલ અને મિલ્ક સોલિડ્સથી તૈયાર કરવામાં આવે છે. એડિટિવ્સ અને કેમીકલ્સ ઉમેરાતા હોવાથી લાંબા ગાળે જોખમરૂપ હોય છે. મહેસાણાથી લાવી પનીર ગોધરામાં વેચાતું હતું2 જાન્યુઆરીના રોજ મહેસાણાના દેદિયાસણ નજીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મહાકાળી, નમક મિલ્ક ડેરીમાંથી રૂા.2.60 લાખનો પનીરનો 1178 કિલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો. આ પનીર ઓછા ફેટના દૂધમાં વનસ્પતિ તેલ મિલાવીને ભેળસેળવાળુ પનીર બનાવી વેચતા હતા. તપાસમાં મહેસાણાથી ભેળસેળવાળુ પનીર અમદાવાદ, ગોધરામાં વેચાણ કરેલા બિલ મળી આવ્યા હતા. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છેભેળસેળિયું પનીર ખાવાથી ડાયેરિયા અનેવોમિટીંગ સાથે આંતરડામાં એન્ટ્રાઇટિસ્ટ થઈશકે છે.ઊબકા અને ઊલટી આવી શકે છે. વધુપડતું આવું પનીર ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાથીનળીઓ બ્લોક થાય છે અને હૃદય રોગનો હુમલોપણ આવી શકે છે.ભેળસેળિયું પનીર આરોગ્યમાટે હાનિકારક છે: ડો. પી. સાગર, સર્જન
ભાસ્કર ઈમ્પેક્ટ:બાલાસિનોર પાસે રોંગ સાઇડથી હોટલ પર જતા વાહનો અટકાવાયાં
બાલાસિનોર પાસેથી હોટલ પર આરટીઓ અધિકારી વાહન ચાલકોને દબાણ કરીને ફરજિયાત હોટલ પર ચા નાસ્તો કરવાનુ દબાણ કરતા વાહન રોંગ સાઇડ પરથી હોટલ પર જતા હતા. ભાસ્કરે સમગ્ર મામલાનુ સ્ટિંગ કરીને અહેવાલ મંગળવારે પ્રસિદ્ધ કરતા આરટીઓ દ્વારા ઓવરલોડ વાહન અને રોગ સાઇડ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ દંડનિય કાર્યવાહી કરી હતી. બાલાસિનોર નજીક આવેલ હોટલ પર આરટીઓ અધિકારી દ્વારા ટ્રાવેલ્સના ડ્રાઇવરોને ચા નાસ્તો કરવા દબાણ કરવામાં આવતા હોવાનો ડ્રાઈવર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતો. જયારે એ જ આરટીઓ અધિકારી ધવલ ધ્રાંગીયા સામે 2024માં આક્ષેપ કરતી રજૂઆતની તપાસ કરવા 4 અધિકારીઓની ટીમ પણ બનાવી પણ તપાસ પુર્ણ થઇ નથી. જેને લઈને દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાવેલ્સ ડ્રાઇવરનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે મંગળવારે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારે મહીસાગર આરટીઓ ધવલ ધ્રાંગીયા દ્વારા બાલાસિનોર નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ઓવરલોડ વાહનો તેમજ રોંગ સાઇડથી આવતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. લુણાવાડા આરટીઓ ધવલ ધ્રાંગીયા દ્વારા ઓવરલોડ પેસેન્જર ભરેલા એક ટ્રાવેલ્સ ચાલકોને 23 હજાર રૂપિયા દંડ તેમજ ઓવરલોડ સામાન ભરેલ ટ્રક ચાલકને વીસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.
અકસ્માત:રોડ ક્રોસ કરતાં ડમ્પરના તોતિંગ ટાયર નીચે ચગદાઇ જતા મોત
ઝરોલા ગામે એક હૃદય કંપાવી દેતો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં માત્ર 5 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશુનું કરુણ મોત નિપજ્યું હતું. ઝરોલાના સંગીતાબેન ગોપસીંગભાઇ લવાર 5 વર્ષીય દિવ્યાંશુ સાથે છાપરવડ ગામે દયણું દળાવવા ગયા હતા. દયણું દળાવી પરત ફરતી વેળાએ બંને સ્ટેશન ફળિયા વિસ્તારમાં રોડ ઉપર છકડામાંથી નીચે ઉતર્યા હતા. તે સમયે સંગીતાબેન છકડાવાળાને ભાડું આપવા ગયા હતા. જ્યારે દિવ્યાંશુ રસ્તો ઓળંગી રહ્યો હતો. આ દરમિયાન ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દિવ્યાંશુને અડફેટે લીધો હતો. બાળક ડમ્પરના તોતીંગ ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ ચગદાઈને મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક થોડે દૂર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. ઝરોલા સહિત આસપાસના ગામોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ મામલે નગીનભાઇ લવારે ડમ્પર ચાલક વિરુદ્ધ રંધીકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફેટલ અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માસૂમના અવસાનથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર આવેલી હર્ષલ હૉસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે 16 વર્ષની વિદ્યાર્થિનીએ 3 મહિના સુધી પીડા ભોગવ્યા બાદ જીવ ગૂમાવ્યો છે. પાણીની ગાંઠના ઑપરેશન દરમિયાન વિદ્યાર્થિનીના પેટમાં તબીબ કોટન ભૂલી જતા તેના શરીરમાં સંક્રમણ ફેલાયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. પરિવારે તબીબ ડૉ. વિજયકુમાર સિંહ વિરુદ્ધ ફરિયાદની ચીમકી ઉચ્ચારી છે. મકરપુરાની પાર્થભૂમિ સોસાયટી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ વાઘેલાની 16 વર્ષીય દીકરી સંજનાને ઓક્ટોબરમાં પેટમાં દુખાવો થતા હર્ષલ હૉસ્પિટલમાં લઇ જવામાંં આવી હતી. તેના પેટમાં પાણીની ગાંઠ હોવાનું નિદાન થતાં 11 ઓક્ટબરે ઑપરેશન કરાયું હતું. 14 ઑક્ટબરે સવારે 9.30 કલાકે રજા અપાઇ હતી. બાદમાં તેને દુ:ખાવો થતાં બપોરે દોઢ વાગે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબે પરિવારને ગાંઠ કાઢી છે જેથી તે જગ્યા ખાલી થઈ ગઈ છે તેના કારણે તેને દુખાવો થઈ રહ્યો હોવાનું જણાવતાં પરિવારે પણ વાત માની લીધી હતી. જોકે સંજનાને અસહ્ય દુખાવો થતાં તેને ફરી વાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેને 18 ઓક્ટોબરે રજા આપવામાં આવી હતી. દિવાળીના દિવસે તેને ફરી દુ:ખાવો છતાં તબીબની સલાહ થતાં રાત્રીના દોઢ વાગે તેને એક ઈજેક્શન આપવામાં આવ્યું હતું. બેસતા વર્ષની રાત્રે 3.30 વાગે તેને ફરી દુ:ખાવો થતાં તબીબના કહ્યા અનુસાર સંજનાને દવા આપવામાં આવી હતી. સતત સારવાર બાદ 27 ઓક્ટોબરે તેને દુ:ખાવો થતાં તેને મકરપુરાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રથમ નિદાનમાં આવ્યું હતું કે તેને આંતરડામાં મળ જમા થઈ ગયો છે. નવેમ્બર મહિનામાં સંજના 5 વાર હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ફરી 27 નવેમ્બર મહિનામાં સંજનાને દાખલ કરવામાં આવી હતી અને સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જે બાદ 1 ડિસેમ્બરે તેનું ફરી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પેટમાંથી અસામાન્ય માત્રામાં કોટન કાઢવામાં આવ્યું હતું. જે બાદ પણ તેની તબિયત સુધરી નહોતી. સોમવારે સાંજે 6 વાગે તેનું હોસ્પિટલમાં મોત થતાં મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારે જણાવ્યું કે તેઓ હર્ષલ હૉસ્પિટલના તબીબ ડૉ.વિજયકુમાર સિંહની સામે ફરિયાદ કરશે. હોસ્પિટલની બેદરકારીને પરિણામે 16 વર્ષની દીકરીનું મોત થયું છે. ઘટના સંદર્ભે હર્ષલ હૉસ્પિટલમાં સંપર્ક કરતાં તબીબનો સંપર્ક થઈ શક્યો નહોતો. હજુ હર્ષલ હૉસ્પિટલનું બિલ ચૂકવવાનું બાકી છેપિતા હિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ‘સંજનાને સારી સારવાર મળે તે માટે હું મકરપુરાની હોસ્પિટલ લઈ ગયો હતો. તબીબે મને જણાવ્યું કે, જેણે સંજનાનું ઓપરેશન કર્યું તેણે બેદરકારી દાખવી છે, તેના આતંરડા સડી ગયા છે. દોઢ મહિનો તેની સારવાર કરાવી, હજુ બીલ ચૂકવવાનું બાકી છે. ગાંઠ બાબતે પણ શંકાઓપરેશન બાદ પરિવારને 1 કલાક બાદ ગાંઠ બતાવવામાં આવી હતી. ગાંઠ જોઇને પરિવારને શંકા ગઇ હતી કે પેટમાં આટલી મોટી ગાંઠ કઈ રીતે હોઈ શકે? આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મળ્યો નથી.
ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની સ્મોલ સ્કેલ કંપનીએ તૈયાર કરેલા 3 સાધનો ગુરૂવારે સવારે રવાના કરવામાંં આવ્યાં હતાં. શહેરની કંપની હાઇ ફેબે તૈયાર કરેલા સાધન રશિયા કરતા 35 ટકા સસ્તા ભાવે તૈયાર થયાનું મહેશભાઇ શર્માએ જણાવ્યું હતું. કંપનીએ મલ્ટીનેશનલ કંપની સામે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જે અંગે કંપનીએ જણાવ્યું હતું કે, મોટી કંપની સામે 5 ટકા સુધી વધુ ભાવ આવ્યા હોય તો પણ એમએસએમઇને કોન્ટ્રાકટ અપાય છે. રામેશ્વર ખાતે બની રહેલો આ પાવર પ્લાન્ટ રશિયા દ્વારા બનાવાઇ રહ્યો છે.રશિયા ભારતમાં જ સારાં સાધનો બને અને તેમની કંપનીઓને ઉપયોગી થાય તેવું ઇચ્છે છે. સરકારે ન્યુક્લિયર પૉલિસીમાં ફેરફાર કર્યો છે. કંપનીઓને સાધનો બનાવાની તક મળી છે.
છેતરપિંડી:મકરપુરાના વિશાલે ટુ-વ્હીલરનું લાઇસન્સ આપીશ કહી 7 હજાર પડાવતાં ગુનો દાખલ
ટુ-વ્હીલરનું લાઇસન્સ કાઢવા માટે રૂા.7 હજાર પડાવી લેનારા મકરપુરાના વિશાલ પટેલ વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. વિશાલે કુલ 4 લોકો પાસેથી લાઇસન્સ કઢાવી આપવા માટે રૂા.28 હજાર પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મકરપુરાના જશોદા કોલોનીમાં રહેતા પરેશ વસાવાએ ટુ-વ્હીલરનું લાઇસન્સ કઢાવ્યું ન હતું. જોકે હવે લાઈસન્સ કઢાવવાની જરૂરિયાત ઉભી થતાં તેમને પોતાના સહકર્મી મુકેશભાઈ બારીયાને આ અંગે વાત કરી હતી. મુકેશભાઈએ લાઇસન્સ માટે વિશાલ પટેલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવી આપ્યો હતો. વિશાલ પટેલને લાઇસન્સ કઢાવી આપવા માટે રૂા.7 હજાર યુ.પી.આઈ મારફતે આપ્યાં હતાં. જોકે ઘણા દિવસ બાદ પણ લાઇસન્સ ન આવતા યુવકે વિશાલનો સંપર્ક કરતા તેને ફોન ઉપાડ્યો ન હતો. અને ફોન ઉપાડે તો ધાક-ધમકી આપતો હતો. જેથી પરેશભાઈએ વિશાલ વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે વધુ તપાસ કરતા ગઠિયાએ પરેશભાઈની કંપનીમાં જ નોકરી કરતા મુકેશ ભારીયાના રૂા.10 હજાર, કમલેશ કોલીના રૂા.4 હજાર અને હસમુખ પરમારના રૂા.7 હજાર આમ કુલ રૂા.28 હજારની રકમ લઈને છેતરપિંડી કરી હતી. મકરપુરા પોલીસે વિશાલ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોધ્યો હતો.
કાર્યવાહી:પ્રતિબંધિત ચાઇનીઝ દોરા અને કાચના પાઉડર સાથે બે વેપારીઓની અટકાયત
ઉત્તરાયણ નજીક આવતા જ પોલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા કરનારને ઝડપી રહી છે. બીજી તરફ દોરાને માંજો લગાવવામાં કાચના પાઉડરનો ઉપયોગ કરનાર વેપારીને ઝડપી પાડી જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે. મકરસંક્રાંતિ તહેવાર સમયે કેટલાક લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે. જેના કારણે મનુષ્ય, પ્રાણી અને પક્ષીઓને ગંભીર ઇજા અને કેટલાક કિસ્સામાં મોતના બનાવો બને છે. બીજી તરફ લોખંડ પાઉડર, કાંચનો પાઉડરનો વેપાર કરનારાની પોલીસે તપાસ હાથ ધરી હતી. સમા કેનાલ પાસે રહેતા બિપીનચંદ્ર પ્રફુલભાઈ જાનીને પોલીસે ઝડપ્યા હતા. એની પાસે રહેલા થેલામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 33 રીલ કિંમત 16.5 હજાર જપ્ત કરી કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં પરિવાર ચાર રસ્તા પાસે દોરા માંજવાનું કામ કરતા કુણાલ દિપેશભાઈ મહેતા ને ત્યાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. જેમાં દોરો માંજવા માટે વપરાતો કાંચના પાવડરનો 13 કિલો જથ્થો અને એના ઉપયોગથી માંજેલી 3 ફીરકી જપ્ત કરી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માટે પોલીસની કડકાઈ જરૂરી છેઉતરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચના પાવડરનો ઉપયોગ કરવાથી માનવ અને પશુ પક્ષીઓનો જીવ જાય છે. ચાઇનીઝ દોરા અને કાચના પાવડરના ઉપયોગથી તૈયાર થયેલા દોરાથી સામાન્ય દોરા કરતાં ઇજાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. કેટલાક કિસ્સામાં જાન પણ જાય છે.ત્યારે સરકારે મૂકેલા પ્રતિબંધોનો કડક પણ અમલ કરવો જરૂરી છે.
આજથી આરટીઓ કચેરી નવતર અભિયાન કરશે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અને ઉત્તરાયણ નિમિત્તે આજથી બુધવારથી આરટીઓ ટીમ દ્વિચક્રી વાહનચાલકોને અટકાવશે પણ તેમને દંડ કરવાના બદલે એક ભેટ આપશે. આ ભેટ વાહનચાલકોને રસ્તા પર સલામતી માટેની હશે. આરટીઓ કચેરી દ્વિચક્રી વાહનોના આગળના ભાગે સેફ્ટી વાયર ચાલકોને ફીટ કરી આપશે. અન્ય એક અભિયાન અંતર્ગત ઉત્તરાયણની સમાંતરે માર્ગ સલામતીના સૂત્રો લખેલી 2500 પતંગો પણ ભેટમાં આપશે. દ્વિચક્રી વાહનચાલકો રસ્તા પર વાહન હંકારતા હોય ત્યારે સલામત રહે તેવા આશયથી 1 હજાર સેફ્ટીગાર્ડનું વિતરણ કરાશે. આ અભિયાનોથી લોકોમાં આરટીઓ માટે હકારાત્મક અભિગમ પણ ફેલાશે. ઓર્ડર આપીને મોટા કદની પતંગો ખાસ તૈયાર કરાવીઆ નવતર પ્રયોગ વિશે આરટીઓ અધિકારી કેતન ખપેડ જણાવ્યું કે, ‘આ પતંગોને ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવ્યા છે. લોકો તેને ચગાવે તેવી પણ ભાવના હોવાથી મોટા કદના તૈયાર કરાયા છે. પતંગોત્સવ દરમિયાન આરટીઓ કચેરી દ્વારા પતંગ અને સેફ્ટી ગાર્ડ એક સાથે વહેંચવાનો આ પ્રથમ પ્રયોગ છે.
લક્ષ્મીપુરા રોડની ખાનગી શાળામાંથી નીકળી ધો-10ની વિદ્યાર્થીની પરિવારને જાણ કર્યા વગર ગોત્રી ઈસ્કોન મંદિર ખાતે કથામાં જતી રહી હતી. ત્યારબાદ મોડી રાત સુધી તે ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત થયા હતા અને ગોરવા પોલીસને જાણ કરી હતી. પોલીસે સતત છ કલાક તપાસ કરીને વિદ્યાર્થીનીને શોધી કાઢી પરિવારને સોંપી હતી. લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલી ખાનગી શાળામાંથી 15 વર્ષીય વિદ્યાર્થીની સોમવારે સ્કૂલથી સાડા બાર વાગે છૂટી સાઇકલ લઈને ગોત્રી ઈસ્કોન મંદિર પહોંચી ગઈ હતી. જોકે વિદ્યાર્થીની ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. વિદ્યાર્થીની ઈસ્કોન મંદિરમાં જમી હતી. ત્યાર બાદ પાસે આવેલા શિવજીના મંદિરે જઈને ભક્તિ કરવા લાગી હતી. પરિવાર વિદ્યાર્થીનીને શોધતા 10 વાગ્યાની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સીસીટીવી આધારે ઈસ્કોન મંદિર પહોંચી હતી. જ્યાંથી વિદ્યાર્થિનીની સાઇકલ મળી હતી. પોલીસ ઈસ્કોન મંદિરના સીસીટીવી પણ તપાસ્યા હતા. જ્યાં વિદ્યાર્થિની હાજરી મળી હતી. તપાસ કરતા વિદ્યાર્થિની ઈસ્કોન મંદિર પાછળના શિવજીના મંદિરમાંથી મળસ્કે ચાર વાગે મળી આવી હતી. પોલીસે તેના પરિવારને સોંપી હતી. સાઇકલ પર જતી વિદ્યાર્થિની સીસીટીવીમાં દેખાતાં કડી મળીગોરવા પોલીસે 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. શાળાએથી વિદ્યાર્થિની સાયકલ પર ઈસ્કોન મંદિર તરફ જતી દેખાઈ. ઈસ્કોન મંદિરના સીસીટીવીમાં પણ વિદ્યાર્થિની દેખાતાં પોલીસને આસપાસ સઘન ચેકિંગ કર્યું હતું. બસ સ્ટેશન, બગીચામાં પણ પોલીસે તપાસ કરી હતીગોરવા પોલીસને વિદ્યાર્થિની ગુમ થયા હોવાની જાણકારી મળતા જ પ્રાથમિક ધોરણે તેના ઘર નજીકના બાગ-બગીચા, રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે વિદ્યાર્થીના ફોટો સાથે શોધખોળ કરી હતી. કૂતરાં ભસ્યાં અને વિદ્યાર્થિની શિવજી મંદિરેથી મળી આવીગોરવા પોલીસ વિદ્યાર્થિનીને શોધતી શોધતી ઈસ્કોન મંદિર પહોંચી હતી. જોકે ત્યાં ફક્ત સાયકલ મળી હતી. મળસ્કે પોલીસે મંદિર પરિસર તેમજ આસપાસ તપાસ શરૂ કરી હતી. જોકે શોધખોળ દરમિયાન ઈસ્કોન મંદિર પાછળ કૂતરા ભસતા હોવાથી પોલીસ ત્યાં તપાસ કરવા ગઈ હતી. વિદ્યાર્થિની શિવજીના મંદિરમાંથી ઉઠી હતી અને નીકળવાની તૈયારીમાં હતી. જોકે તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થિનીને શોધી કાઢી હતી.
ગેસના બાકી બિલની વસૂલાત:ગેસના બાકી લેણાંની કડક વસૂલાત શરૂ ફતેપુરા-યાકુતપુરામાં 61 જોડાણો કાપ્યાં
ગેસના બાકી બિલની વસૂલાત માટે ગેસ વિભાગની 4 ટીમોએ અતિ સંવેદનશીલ ફતેપુરા, યાકુતપુરા સહિતના વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં રૂા.62.25 લાખનાં બાકી લેણાં માટે 61 જોડાણ બંધ કર્યાં હતાં. બીજી તરફ રૂા.6.89 લાખની વસૂલાત કરી હતી. વડોદરા ગેસ વિભાગની ટીમે વર્ષોથી બાફી લેણાની કડકાઈથી વસૂલાત શરૂ કરી છે. જેમાં ગેસ વિભાગની 4 ટીમોના 59 કર્મીઓએ સિટી પોલીસ મથકના 6 સભ્યોને સાથે રાખી બાકી બિલની વસૂલાત શરૂ કરી હતી. જેમાં ફતેપુરા ચાર રસ્તા, જૂનીગઢી, યાકુતપુરા, ચાંપાનેર દરવાજા, સોડા ફેક્ટરી, દરવાન ફળિયામાં વસૂલાત શરૂ કરી હતી. જેમાં 90 ગ્રાહકોના પરિસરની તપાસ કરી 29 લોકો પાસેથી 6.89 લાખની વસૂલાત કરી હતી. જ્યારે 62.25 લાખનું બિલ ન ભરનારાના 61 ગેસ જોડાણ બંધ કરાયા હતા. 40 કરોડની વસૂલાત માટે 4 દિવસ ઝુંબેશ ચલાવાશેવડોદરા ગેસ વિભાગની ટીમે બાકી 40 કરોડની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેસ વિભાગની ટીમ આગામી 4 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ડ્રાઇવ ચલાવશે. આગામી દિવસમાં રાવપુરા, નવાપુરા અને કારેલીબાગ સહિતના વિસ્તારમાં બાકી લેણાની વસૂલાત કરશે. જે પ્રમાણે ગેસ વિભાગને પોલીસ બંદોબસ્ત મળશે તે પ્રમાણે આગલા દિવસે કાર્યવાહી કરશે.
શહેરમાં પ્રથમ વખત યોજાયેલી પૂ.ઇન્દ્રેશજી મહારાજની ભાગવત કથામાં આમંત્રિતો સાથે સામાન્ય શ્રોતાઓનો ભારે ધસારો થતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. જેને પગલે વીવીઆઇપી પાસને પંચ કરી શ્રોતાઓને અંદર જવા દેવાતા હતા. અંદર ગયા બાદ પણ પાસનું ફરી વખત ચેકિંગ કરાતું હતું. જેમાં 150 નકલી પાસ પકડાયા હતા. ગોત્રી ઇસ્કોન મંદિરના ગ્રાઉન્ડમાં વૃંદાવનના કથાકાર પૂ.ઇન્દ્રેશજી મહારાજની ભાગવત કથા 3 જાન્યુઆરીથી ચાલી રહી છે. કથાનું આયોજન રાજસ્થાન જ્ઞાન ગંગા સમિતિ દ્વારા કરાયું છે. જોકે માત્ર મર્યાદિત લોકો પૂરતી આ કથા યોજાઈ છે. બીજી તરફ પૂ.ઇન્દ્રેશજીની લોકપ્રિયતાને પગલે મોટી સંખ્યામાં લોકો આવતાં વધુ એક મંડપ બાંધવાની ફરજ પડી હતી. જ્યારે પાસ પણ વેચાતા હોવાની ચર્ચા આયોજકોના કાને આવતાં તેમણે આ અંગે તુરંત તપાસ હાથ ધરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ કથાના પાસ નિ:શુલ્ક આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે થ્રી લેયર સુરક્ષા અને ચકાસણી હાથ ધરવામાં આવશે. ભેજાબાજો પાસની ઝેરોક્સ કાઢી 1500થી 2 હજારમાં વેચી રહ્યા છેભાગવથ કથાના શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો રોજેરોજ પહોંચી રહ્યા છે. જોકે કથા મંડપમાં તપાસ દરમિયાન અંદાજે 150 જેટલા ડુપ્લિકેટ પાસ મળી આવતાં આયોજકો ચોંકી ઊઠ્યા હતા. જેને પગલે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, સમિતિ દ્વારા મેમ્બરોને ફ્રી પાસ આપવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો તેની ઝેરોક્સ કઢાવી રૂા.1500થી 2 હજારમાં વેચી રહ્યા છે, જે ખોટું છે. નાગરિકો કોઇ પાસ ખરીદે નહીં.
સમા, હરણી, છાણી સહિતના વિસ્તારમાં 6 રોડની કામગીરી ખોરંભે પડતાં રોડ પ્રોજેક્ટ વિભાગે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. બીજી તરફ ફતેગંજ, દાંડિયાબજાર, છાણી મેઇન રોડ પરના રસ્તાનું ખાતમુહૂર્ત થયું હોવા છતાં કામ શરૂ કરાયું નથી. શહેરમાં ઓક્ટોબરમાં 30 રોડના કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર અપાયો હતો, પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવાનું હોવાથી કામ શરૂ કરાયું નહોતું. તાજેતરમાં મુખ્યમંત્રીએ રોડના 122 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું છતાં કામ શરૂ ન થતાં રોડ પ્રોજેક્ટ વિભાગે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને 12 રોડની કામગીરીમાં વિલંબ થતો હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપી છે. તેવી રીતે પરિવાર ચાર રસ્તાથી મહાદેવ તળાવ સુધી કામમાં મોડું કરનાર ગાયત્રી કન્સ્ટ્રક્શનને નોટિસ આપી બ્લેકલિસ્ટની ચેતવણી આપી છે. સમા, હરણીના રોડનાં કામો કોન્ટ્રાક્ટરે અધૂરાં છોડ્યાં ડિમાર્કેશન કરાયું ન હોવાથી જુદા જુદા 6 રસ્તાની કામગીરી અટકીફતેગંજ પેટ્રોલપંપથી બુલ્સ સર્કલ સુધીના રસ્તાનું રિસર્ફેસિંગ, દાંડિયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા અને જયરત્ન ચાર રસ્તા સુધીના રસ્તા, હરણી સ્કાય હાર્મોનીથી ગ્લેડ મર્ક્યુરી સુધી, છાણી મેઇન રોડથી સૈનિક છાત્રાલય સુધી, સમા કેનાલ શ્રીજી ઓરાથી લીલેરિયા એપાર્ટમેન્ટ, છાણી ટીપી 48માં રસ્તાનું ખાતમુહૂર્ત થયું છે. ટાઉન પ્લાનિંગ વિભાગે ડિમાર્કેશન ન કર્યું હોવાથી કામ શરૂ થયું નથી.
કોટંબીમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે. બંને ટીમ બુધવારે શહેરમાં પહોંચી જશે. બંને ટીમ માટે જુદી જુદી હોટલ બુક કરાઈ હતી. કોટંબીમાં 11મીએ ભારત-ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ રમાશે. ભારતની ટીમ હયાત હોટલમાં રોકાશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આઈટીસી વેલકમમાં રોકાશે સાથે મેચ ઓફિશિયલ્સ માટે આઈટીસી વેલકમમાં જ રોકાવાનું આયોજન કરાયું હતું. બીજી બાજુ મેચના પાસની સગવડ કરવા હજી ઘણા લોકો પોતાના સંપર્ક કામે લગાવી રહ્યા છે. જોકે બીસીએએ પાસનું વેચાણ હવે બંધ કરી દેવાયું છે અને ઠગોથી દૂર રહેવા અપીલ કરી હતી. બીજી તરફ બીસીએના 2 હજાર સભ્યોને સ્ટેડિયમના બે કોમ્પ્લિમેન્ટ્રી પાસ આપવાનું નક્કી કરાયું હતું. મંગળવારે એલેમ્બિક સંસ્કૃતિ હોલ અને મોતીબાગ મળી સવારે 10-30થી સાંજે 5-30 વાગ્યા સુધી 1200થી વધુ સભ્યને પાસ આપવામાં આવ્યા હતા. સભ્યોને જમવાની કુપન, પાર્કિંગ પાસ પણ આપવામાં આવ્યા હતા. સાથે જ તમામને કોટંબી સ્ટેડિયમના ગેટ-1થી પ્રવેશ મેળવવા કહેવાયું હતું. ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ કોટંબીમાં 3 દિવસ પ્રેક્ટિસ કરશે
સ્થાનિકો રોષે ભરાયા:ભોલેશ્વર-મોતીપુરા હાઈવે પર અંધારપટનો ઉકેલ નહીં આવે તો હાઈવે જામની ચીમકી
હિંમતનગરના મોતીપુરા આરટીઓ બાયપાસ પર ભોલેશ્વરને જોડતાં ચાર રસ્તાથી મોતીપુરા હાઈવે તરફના અંદાજે 1 કિમીના માર્ગ પર લાંબા સમયથી રોડ સાઈડની લાઈટો બંધ રહેતી હોવાથી કાયમ અંધારપટ રહેતાં સ્થાનિકો રોષે ભરાયા છે અને તંત્ર દ્વારા હાઈવેની લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો બાયપાસ હાઈવે બ્લોક કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મોતીપુરા આરટીઓ સર્કલ બાયપાસ પર અંધાર પટની કાયમી સમસ્યા હોવાથી નાના વાહનો લઈને નીકળતાં અને રાહદારીઓ માટે રાત્રિનો સમય જોખમી બની રહે છે. બાયપાસ પર ભોલેશ્વર ચાર રસ્તા આસપાસ ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રાત્રિના સમયે આટલો વિસ્તાર પસાર કરવો ભારે જોખમી બની રહે છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને રાહદારીઓ દેખાતા નથી. જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. બીજી સમસ્યા એ કે ભોલેશ્વર ચાર રસ્તા પર વાહનોની ગતિ મર્યાદિત સીમીત રાખવા માટે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ પણ લાંબા સમયથી પડતર છે. અંધારપટ થતાં એકત્ર થયેલ સ્થાનિક રહીશ કિરણભાઈ તથા વિપુલભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ, તંત્રના પેટનું પાણી હલતું નથી. તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં નહીં આવે અને સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ નહીં થાય,તો ભોલેશ્વર ગ્રામજનો અને આજુબાજુની સોસાયટીના રહીશો ચક્કાજામ કરશું.
ખેડૂતોને મહેસાણાના ધક્કામાંથી મુક્તિ:ખેરાલુ, વડનગર અને સતલાસણામાં હવે જમીન દફતરની કચેરીઓ શરૂ થશે
રાજ્ય સરકારના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા જમીન દફતર ખાતાની કામગીરીના ભારણને હળવું કરવા અને વહીવટને સરળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ખેરાલુ પ્રાંત હેઠળના ત્રણ તાલુકાઓ ખેરાલુ, વડનગર અને સતલાસણા માં જમીન દફતરની નવી કચેરીઓ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેના કારણે હજારો ખેડૂતે હવે સામાન્ય કામ માટે મહેસાણા સુધીના ધક્કા ખાવા પડશે નહીં. મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી બાદ જિલ્લા કક્ષાની વર્ગ-2ની કચેરીઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરાશે. જમીન દફતર વિભાગમાં કામગીરીનું ભારણ વધતા અને અરજદારોની મુશ્કેલી દૂર કરવા મુખ્યમંત્રી દ્વારા આ વિકેન્દ્રીકરણની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હાલમાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકા મથકોએ આ કચેરીનો સ્ટાફ બેસાડવા માટે યોગ્ય સરકારી જગ્યા શોધવાની કામગીરી ચાલી રહી છે. જગ્યાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ સ્ટાફની ફાળવણી સાથે પરિપત્રની સંપૂર્ણ અમલવારી કરાશે. અત્યાર સુધી ખેરાલુ, વડનગર અને સતલાસણા પંથકના અરજદારોએ જમીન માપણી, હક્કચોકસી કે સિટી સર્વેને લગતા ટેકનિકલ પ્રશ્નો માટે મહેસાણા જિલ્લા કચેરીએ જવું પડતું હતું. હવે તાલુકા સ્તરે જ અધિકારી અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થશે
ધરોઇ ડેમ આધારિત પાલનપુર જૂથ યોજનાની મુખ્ય પાઇપલાઇનનું શિફ્ટિંગ કામહાથ ધરાતા આજથી ત્રણદિવસ શુક્રવાર સુધી પાલનપુર શહેરને ધરોઇનું પાણી મળવાનુંબંધ રહેશે. જોકે નગરપાલિકાદ્વારા સંપમાં પાણીનો સંગ્રહકરવામાં આવ્યો હોઇ બે દિવસદરમિયાન શહેરીજનોનેકરકસરયુકત પાણીનો ઉપયોગકરવાની અપીલ કરવામાં આવીછે. ત્રીજા દિવસે શુક્રવારેપાણીની અસર વર્તાશે જેનામાટે પાલિકા દ્વારા આગોતરૂઆયોજન કરાયું છે. પાલનપુરને સાંકળતી ધરોઇજુથ યોજનાની મુખ્યપાઇપલાઇનનું ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડદ્વારા રેલ્વે ક્રોસિંગને કારણે 914એમ.એમ. વ્યાસની પાઇપલાઇનનું શિફ્ટિંગ કરવાનીકામગીરી હાથ ધરવામાં આવીછે. જેના કારણે આજે તારીખ 7જાન્યુઆરી બુધવારથી તારીખ9 જાન્યુઆરી શુક્રવાર સુધીપાણી પુરવઠો બંધ રાખવાનોનિર્ણય લેવામાં આવ્યોછે.પાલનપુર શહેરમાં મોટાભાગે ધરોઇ ડેમ પર આધારિતપાણી પુરવઠો આપવામાં આવેછે. ત્રણ દિવસ સુધી પાણી બંધરહેતા ઘરેલુ તેમજ વ્યાવસાયિકઉપયોગ માટે નાગરિકોનેમુશ્કેલી ન પડે તે માટે પાલિકાદ્વારા આગોતરૂ આયોજન કરાયુંછે. આ અંગે નગરપાલિકાપાણી પુરવઠા ચેરમેન આશિષપઢિયારે જણાવ્યું હતુ કે,શરૂઆતના બે દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં સંપમાંસંગ્રહિત કરેલું પાણી આપવામાંઆવશે. જોકે ત્રીજા દિવસેપાણીની અછત સર્જાવાનીશક્યતાઓ છે. જેના માટેપાલિકા દ્વારા આગોતરૂઆયોજન કરવામાં આવ્યું છે.પાલિકાના હેલ્પ લાઇન નંબર02742 - 252031 ઉપર કોલકરવાથી ટેન્કર મળીરહેશે.જાહેર જનતાને અપીલકરવામાં આવે છે કે, આ ત્રણદિવસ દરમિયાન પાણીનોકરકસરપૂર્વક ઉપયોગ કરે. જરૂરિયાતવાળા વિસ્તારોને પ્રાથમિકતાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 50 બોરવેલમાંથી પાણીઅપાશે. આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક ટેન્કર સેવા શરૂ કરવામાં આવશે.જરૂરિયાત મુજબ ટેન્કરો મોકલીને પાણી પહોંચાડવાની વ્યવસ્થાગોઠવવામાં આવી છે. ખાસ કરીને હોસ્પિટલ, શાળાઓ, વૃદ્ધાશ્રમ તેમજપાણીની વધુ જરૂરિયાત ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
રજૂઆત:જિલ્લામાં એસઆઇઆર અંતર્ગત આવેલ નોટિસમાં આધારકાર્ડ પુરાવારૂપ ગણાવો
ચૂંટણી પંચ દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિચરતિ અને વિમુક્ત જાતિના પરિવારો પર ચૂંટણી કાર્ડ રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચના જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં 2002ની મતદાર યાદીમાં લોકોના નામ નથી જેથી આ પરિવારોને નોટિસ આપવામાં આવી છે. આ સમુદાયોના લોકો સરકારી દસ્તાજો મેળવવા કેવી મુશ્કેલી અનુભવે છે એ અમે ખૂબ જ નજીકથી જોયું છે. વળી ભારતના નિર્વાચન આયોગ નવી દિલ્હી દ્વારા વખતો વખત સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે નોટિસો આપી છે તેમાં દસ્તાવેજો પૂરા પાડવા માટે અલગ અલગ પ્રકારના દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે. પણ વિચરતિ અને વિમુક્ત જાતિઓ પાસે આ ડોક્યુમેન્ટ મળવા ખૂબ જ મુશ્કેલ છે. તેથી જે લોકોને નોટિસ આવી છે આવા પરિવારને આધારકાર્ડ પુરાવા રૂપ ગણવા માંગ કરી છે. વિચરતા પરિવારોને સરકારી દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલી થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં વિમુક્ત જાતિઓના ઘણા બધા પરિવારો રહે છે. આ પરિવારો પાસે ચૂંટણીકાર્ડ છે પરંતુ 2002ની મતદાર યાદીમાં લોકોના નામ નથી. જેથી આ પરિવારોને નોટિસ આપવામાં આવી છે. આ લોકોના ચૂંટણી કાર્ડ રદ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ સમુદાયોના લોકો એક સ્થળે ન રહેતા સરકારી દસ્તાજો મેળવવા કેવી મુશ્કેલી અનુભવે છે. > હર્ષદ કે. વ્યાસ
ફરિયાદ:પથ્થર ભરેલ ડમ્પરને રોકાવી તપાસકરવા જતા સર્કલ ઓફિસરને ધમકી
રાણાવાવ આહીરવાડી પાસે બેલા ભરેલ ડમ્ફર પસાર થતા સર્કલ ઓફિસરે તેને રોકાવી તપાસ કરી હતી ત્યારે બીજો આરોપી પણ આવી પહોંચ્યો હતો અને ઓફિસરને ધમકી આપી પથ્થર ભરેલ ડમ્ફર ભગાવીને શખ્સો નાશી ગયા હતા. ફરજમાં રૂકાવટ કર્યા અંગે 2 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવના હાઈવે રોડ પર આહીરવાડી પાસેથી એક ડમ્ફર નંબર GJ 02Y 7386માં બેલા પથ્થર ખનીજ ભરી જતા હતા જેથી રાણાવાવ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર વનરાજસિંહ રામસંગભાઈ સોલંકીએ પોતાની કાયદેસરની ફરજના ભાગ રૂપે ડમ્ફર રોકાવ્યું હતું અને પથ્થર બેલા ખનીજની રોયલ્ટી, કાગળો માંગ્યા હતા. ડમ્ફરના ચાલકે રોયલ્ટી કાગળો રજુ કર્યા ન હતા અને ઉગ્ર અવાજે બોલાચાલી કરી હતી. આ દરમ્યાન એક કાર નંબર GJ 06 LE 0731નો ચાલક સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સર્કલ ઓફિસર તથા તેની સાથેના કર્મી પરેશભાઇ મસરીભાઇ ઓડેદરાને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી નોકરી માંથી કઢાવી નાખવાની તેમજ ACBમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી અને ડમ્ફર ચાલક બેલા પથ્થર ભરેલ ડમ્ફર ભગાડી લઇ ગયો હતો. આ અંગે સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની ફરજમાં રૂકાવટ સહિતનો બંને આરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમા તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુઃખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલૂમ પડ્યું હતું. જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ, કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. પેટમાંથી કોટનનું કપડું નીકળ્યા બાદ કિશોરીનું સારવાર દરમિયાન મોતવડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી પાર્થભૂમિ સોસાયટી વિભાગ એકમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. દિવાળી અગાઉ પેટમાં ગાંઠ હોવાથી કિશોરીનું સોમા તળાવ હર્ષલ હોસ્પિટલમાં સર્જરી કરી ગાંઠ બહાર કાઢી હતી. દરમિયાન તબીબને ભૂલથી પેટમાં કોટનનું કપડું રહી જતા એક અઠવાડિયા પછી બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં પરિવારે બાળકીને મકરપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તબીબે આ બાળકીના ઓપરેશન બાદ પણ પેટમાં દુખતા સોનોગ્રાફી કરાવી હતી. જેમાં બાળકીના પેટમાં સર્જરી દરમ્યાન એક કોટનનું કપડું રહી ગયું હતું. આ અંગે અગાઉના ડોક્ટર દ્વારા ભૂલ થયાની સ્વીકારી રૂપિયા 1.70 લાખ ચૂકવી ફરી સર્જરી બાદ પણ બાળકીની સ્થિતમાં સુધારો ન આવતા આજે તેનું મોત થયું હતું. હર્ષ હોસ્પિટલના તબીબ સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજીઆ મામલે હાલમાં કપુરાઈ પોલીસ મથકમાં હર્ષલ હોસ્પિટલ ના તબીબ સામે અરજી આપવામાં આવી છે. જેમાં ડો વિજયસિંહ રાજપૂતની બેદરકારી સામે ફરિયાદ દાખલ કરવા પરિવારે માંગ કરી છે. આ બનાવમાં બાળકીના મૃતદેહનું પેનલ પી એમ કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બેદરકારી દાખવનાર તબીબ ફરાર હોવાની વિગતો સામે આવી છે.
2026નો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)યોજાવાની છે. જે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો માટે વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'શીતલ કૂલ પ્રોડક્ટ્સ'ની સાફલ્યગાથા 'લોકલ ટુ ગ્લોબલ' વિકાસ મોડેલના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરાશે. એક સામાન્ય પાનની દુકાનથી શરૂ થયેલો આ વ્યવસાય આજે અમેરિકા સહિત વિશ્વના 15થી વધુ દેશોમાં વિસ્તર્યો છે. વાર્ષિક ₹300 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને 900 જેટલી વિવિધ પ્રોડક્ટ બનાવી રહી છે. એટલું જ નહીં, શીતલની વર્ક ફોર્સમાં 70 ટકા મહિલા કર્મચારીઓ છે. અમરેલીમાં એક હજાર પરિવારને કોઈને કોઈ રીતે રોજગારી પૂરી પાડે છે. પેકેજિંગથી લઈ સુપરવાઇઝર સુધી મહિલાકર્મીશીતલમાં સ્પાઇસીસ વિભાગના હેડ રવિના સોજિત્રાએ જણાવ્યું હતું કે, શીતલમાં હું આઠ વર્ષથી જોડાયેલી છું. અહીંયા પેકેજિંગથી લઈ અને સુપરવાઇઝર તેમજ હેડ સુધીની જવાબદારી મહિલાઓને આપવામાં આવે છે. મહિલાઓને સારું વેતન પણ મળે છે અને તેમના માટે રોજગારીનું સર્જન થાય છે. આવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઊંચાઈ મળશે. શીતલની સફળતા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપત ભૂવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા VGRC જેવા મંચો થકી ઉદ્યોગોનો ઝડપી વિકાસ અને રોજગારી સર્જનનો હેતુ સફળ થઈ રહ્યો છે. શીતલે એક નાની પાન શોપથી શરૂ થઈને BSE અને NSE લિસ્ટેડ કંપની સુધીની સફળતા મેળવી છે. 'લોકલ ટુ ગ્લોબલ' વિચારધારાને વ્યવહારમાં ઉતારીને આજે અમેરિકા, જાપાન, કોંગો સહિત 15થી વધુ દેશોમાં પ્રોડક્ટ્સ નિકાસ થાય છે. આગામી સમયમાં અમરેલીમાં રેડી ટુ ઈટ પ્રોડક્ટનું નવું યુનિટ શરૂ કરવામાં આવશે, જેનાથી 100થી વધુ લોકોને નવી રોજગારી મળશે. રોજગારી, ઉદ્યોગ વિકાસ અને નિકાસક્ષમ ઉત્પાદનના માધ્યમથી શીતલ કૂલ પ્રોડક્ટ્સ અમરેલી જિલ્લાની ગૌરવગાથા બની છે. વૈશ્વિક તકોના દ્વાર ખુલશેવડાપ્રધાન દ્વારા ખુલ્લી મૂકાનારી આ પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખોલશે. શીતલ કૂલ પ્રોડક્ટ્સ હાલમાં દૂધ, દૂધજન્ય બનાવટો, સ્નેક્સ અને રેડી-ટુ-ઈટ જેવી 900થી વધુ વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીનું વેચાણ નેટવર્ક ભારતના 10થી વધુ રાજ્યો અને અમેરિકા, જાપાન તથા કોંગો સહિતના 15થી વધુ દેશોમાં ફેલાયેલું છે. રોજગારી અને મહિલા સશક્તિકરણઆ ઉદ્યોગ અમરેલી જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે. કંપની દ્વારા સ્થાનિક સ્તરે 1,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓની નિમણૂક કરવામાં આવતા મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. પેકેજિંગથી લઈ સુપરવાઈઝર અને વિભાગીય હેડ સુધીની જવાબદારીઓ મહિલાઓ સંભાળી રહી છે. નવો પ્લાન્ટ શરૂ કરશેકંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપત ભૂવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના VGRC જેવા મંચ ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે અસરકારક સાબિત થઈ રહ્યા છે. પાન શોપથી શરૂ કરીને BSE અને NSE લિસ્ટેડ કંપની સુધીની મજલ અમે કાપી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં અમરેલીમાં રેડી-ટુ-ઈટ પ્રોડક્ટનો નવો પ્લાન્ટ શરૂ કરાશે, જેનાથી વધુ 100 લોકોને રોજગારી મળશે. કંપનીનો ઇતિહાસ અને વિરાસતકંપનીના સ્થાપક સ્વ. જગદીશભાઈ ભુવાએ 32 વર્ષ પહેલાં જે સ્વાદનું સપનું જોયું હતું, તે આજે એક વટવૃક્ષ બની ગયું છે. પરંપરાગત રેસિપી અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી શીતલ કૂલ આજે દરેક ઘરમાં જાણીતું નામ બન્યું છે.
સુરત શહેરની પતંગપ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી 10મી જાન્યુઆરીના રોજ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અડાજણ વિસ્તારમાં આવેલ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ (જૂના અડાજણ રોડ) ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. વહીવટી તંત્રની તડામાર તૈયારીઓઆ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે દરેક વિભાગને સોંપાયેલી જવાબદારીઓ જેવી કે સુરક્ષા, વ્યવસ્થાપન અને પ્રોટોકોલ અંગેની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. આ બેઠકમાં નાયબ કલેક્ટર નેહા પટેલ સહિત મનપા અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ-વિદેશના પતંગબાજોનું આકર્ષણ સ્થાનિક રમતવીરો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહમાત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં, પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મહોત્સવમાં ખાસ હાજરી આપશે. સુરતીઓને વિશ્વભરની અવનવી અને વિશાળ પતંગોના કરતબો જોવાની એક અનોખી તક મળશે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઇથી સંબંધીઓને મળવા આવેલી 15 વર્ષીય કિશોરીએ હિજાબમાં લગાવવાની 4 mmની તિક્ષ્ણ પિન ગળી ગઈ હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે, સમયસર હોસ્પિટલ પહોંચવાથી બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી નાખતા બાળકીનો જીવ બચ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ કિશોરીના ગળામાંથી પિન બહાર કાઢવામાં આવી હતી. હિજાબમાં પિન લગાવવા જતા અચાનક ગળામાં ઉતરી ગઈસયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બાળકી મુંબઇથી વડોદરામાં સંબંધીઓને મળવા આવી હતી. અહીં હિજાબમાં પિન લગાવતી વખતે તેણે પિન મોઢામાં રાખી હતી. અચાનક બોલવા જતા પિન ગળામાં ઉતરી ગઈ હતી અને ફેફસામાં અટવાઈ જતા તીવ્ર ખાંસી શરૂ થઈ હતી. એક કલાકની ભારે જહેમત બાદ પિન બહાર કઢાઈજોકે, ઘટના બન્યાના માત્ર બે-ત્રણ કલાકમાં જ કિશોરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. તપાસ બાદ એક્સ-રેમાં જાણવા મળ્યું કે, પિન શ્વાસનળીમાં વિભાજનના ભાગે ડાબી તરફના નીચેના ફેફસામાં અટવાઈ ગઈ હતી. તાત્કાલિક એનેસ્થેશિયા નિષ્ણાંતની મદદથી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને બ્રોન્કોસ્કોપી દ્વારા લગભગ 45 મિનિટથી એક કલાકની પ્રક્રિયામાં કોઈ ચીરો પાડ્યા વગર પિન કાઢી લેવામાં આવી હતી. 'કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ'વધુમાં જણાવ્યું હતું કે, શાર્પ વસ્તુઓ જેમ કે સેફ્ટી પિન ઘણી વખત ફેફસા તેમજ હૃદયમાં ઈજા પહોંચાડી શકે છે. સમયસર હોસ્પિટલ આવવાથી આ સફળતા પૂર્વક સર્જરી કરી બહાર કાઢી કિશોરીના જીવને જોખમમાંથી બહાર લાવ્યા છીએ. બાદમાં બે દિવસના એન્ટિબાયોટિક ઇન્જેક્શન અને પોસ્ટ-ઓપરેટિવ ચેસ્ટ એક્સ-રે કર્યા બાદ કિશોરીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી રજા આપવામાં આવી છે. 'એક સાઈડનું ફેફસું પૂરેપુરું બંધ થઈ જવાનું જોખમ'અગાઉના બનાવો અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને ત્રણથી પાંચ વર્ષના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળી વચ્ચેનું સંકલન પૂર્ણ વિકસિત ન હોવાથી ખાતા સમયે આમલીના બીજ, સીતાફળના બીજ કે ચણાના દાણા જેવી વસ્તુઓ શ્વાસનળીમાં જતી રહે છે. નાના બાળકોની શ્વાસનળી અત્યંત સાંકડી હોવાથી આવી વસ્તુઓથી એક ફેફસુ પૂરેપુરું બંધ થઈ જવાનું જોખમ રહે છે. આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લોતેમણે માતા-પિતાને અપીલ કરતા કહ્યું હતું કે, નાના બાળકોને ખવડાવતી વખતે ખાસ સાવધાની રાખો. જો બાળકને લાંબા સમયથી ખાંસી આવતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે ચહેરો ભૂરો પડી જતો હોય તો તાત્કાલિક બાળરોગ નિષ્ણાંત, ઇએનટી ડોક્ટર કે નજીકના જનરલ પ્રેક્ટિશનરને બતાવવું. શાર્પ કે નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવીતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પિન, સિક્કા, બટન સેલ (બેટરી) જેવી શાર્પ કે નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઇએ. કારણ કે, શ્વાસનળીમાં ફસાવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. સયાજી હોસ્પિટલમાં આવી જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે અને અહીં આ પ્રક્રિયા મફતમાં કરવામાં આવી હતી. જે બહારની ખાનગી હોસ્પિટલમાં 60થી 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. 27 નવેમ્બર: અમદાવાદ સિવિલના ડોક્ટરોએ 5 માસના બાળકની અન્નનળીમાંથી બટન સેલ કાઢ્યો અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ મહિનાના અયાનનું જીવન બચાવ્યું હતું. રમતાં રમતાં અયાન ભૂલથી બટન સેલ ગળી ગયો હતો. આ સેલ અન્નનળીમાં ફસાઈ જતાં તેની તબિયત બગડી રહી હતી. તે સતત ઉધરસ ખાતો રહેતો હોવાથી માતા-પિતાએ ખાનગી હોસ્પિટલમાં તેનો એક્સ-રે કરાવ્યો હતો. એક્સ-રેમાં અન્નનળીમાં કંઈક ગોળ વસ્તુ ફસાઈ હોવાનું દેખાતાં તેમને યાદ આવ્યું કે બાળક બટન સેલથી રમતો હતો. તેઓ તરત જ બાળકને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં હતા. સિવિલ હોસ્પિટલમાં ENT અને બાળરોગના સર્જનોએ તરત જ ટીમ બનાવી. ડૉ.રાકેશ જોષી અને ડૉ. નિરખી શાહની ટીમે તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને બટન સેલને ધ્યાનપૂર્વક બહાર કાઢ્યો. બેટરીના કેમિકલને કારણે અન્નનળીમાં ઘા પડી ગયા હતા, પરંતુ સમયસર સારવાર મળવાથી કેસ ગંભીર થતાં અટક્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
ભેખડીયામાં ₹2.87 કરોડનો વિદેશી દારૂ નાશ કરાયો:શહેરા-મોરવા હડફ પોલીસ સ્ટેશનનો જથ્થો રોલર ફેરવી નષ્ટ
ગોધરાના ભેખડીયા ખાતે સરકારી પડતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ₹2.87 કરોડના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ 2024-25 દરમિયાન પકડાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં જેસીબી અને રોલર ફેરવીને દારૂના જથ્થાનો નિકાલ કરાયો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના અનુસાર, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી ભારે મશીનરી ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટી દ્વારા આયોજીત ગુજરાતની કલાને ઉજાગર કરતો ગુજરાતની અસ્મિતા સમા 18મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026નું અમદાવાદના ગોતા સ્થિત શંકુસ ફાર્મ ખાતે તા. 13 જાન્યુઆરીના રોજ સાજે 7 વાગ્યે યોજાશે. છેલ્લાં 17 વર્ષથી સતત આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ વિશ્વભરમાં ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ વધારનાર એવા માનવ ગૌરવને સન્માનિત કરવાનો મંચ પુરો પાડવામાં આવે છે. આ એવોર્ડ દ્વારા કલા, સંસ્કૃત્તિ, સાહિત્ય, ગુજરાતી સિનેમા, રમતગમત, યુવા નેતૃત્વ, સામાજિક સેવા, વ્યવસાય, તથા પરોપકાર જેવા વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગૌરવવંતા ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવે છે. ગુજરાતનો આ સૌથી મોટો ઇન્વાઇટી શો માત્ર આમંત્રિતો માટે છે. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી એવોર્ડમાં હાજરી આપશે18માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, યુવા અને સાંસ્કૃત્તિક મંત્રી જયરામભાઇ ગામિત, રિવાબા જાડેજા, શહેરી વિકાસ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપરાંત અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન તેમ જ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઇ દાણી વગેરેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને ગોરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત સહિત મુંબઇથી કલાકારો ભાગ લેવાના છે. ભૂમિ ત્રિવેદી, બ્રીજરાજ ગઢવી સહિતના કલાકારોનું પર્ફોમન્સઆ કાર્યક્રમમાં અતુલ પુરોહિત, ભૂમિ ત્રિવેદી, કરસન સાગઠિયા, કિર્તી સાગઠીયા, દિવ્યા ચૌધરી, લવારી શોના જાણીતા કલાકારો સાથે યંગ કલાકારો તેમ જ બ્રીજરાજ ગઢવી, આમીર મીર હાજર રહીને તેમના પર્ફોમન્સ દ્વારા સંગીતના સૂર રેલાવશે. આ શોમાં ધમાકેદાર પર્ફોમન્સ 50થી ફોકના ડાન્સરો દિવ્યથી ભવ્ય કાર્યક્રમ કરશે. 40થી 50 ગુજરાતી ફિલ્મ જગતના લોકો હાજરી આપશે. જેમાં હિતુ કનોડિયા, હિતેનકુમાર, મૌલિક ચૌહાણ, ભાવિની જાની વિશેષ ઉપસ્થિત રહેશે. એવોર્ડ સમારોહમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશેસતત 17 વર્ષથી ગૌરવવંતા ગુજરાતી એવોર્ડના આયોજક ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના ફાઉન્ડર અત્રિસ ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાત ગાથાનો મંચ પુરો પાડનાર ઇન્ટરનેશલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના બોર્ડ મેમ્બરો પદ્મશ્રી મનોજ જોષી, ટીકુ તલસાણિયા, રેમો ડીસોઝા, હંસલ મહેતા, મિલાપ ઝવેરી, પ્રાંજલ ખાધદીયા, જે.ડી. મજેઠિયા, સુપ્રિયા પાઠક, યોગેશ લાખાણી અને પાર્થિવ પટેલ કમિટી મેમ્બર પણ અચૂક હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રીષ્મા ત્રિવેદી દ્રારા કરવામાં આવશે. નેશનલ એવોર્ડ વિનર પુનલ સોની દ્વારા કરવામાં આવશે. આ એવોર્ડ માત્ર આમંત્રિતો માટે રહેશે. જેમાં 5થી 7 હજાર લોકો ઉપસ્થિત રહેશે.
આશુતોષ શાળામાં ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી:300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, ચાર હાઉસ વચ્ચે સ્પર્ધા થઈ
ભાવનગરના ઘોઘારોડ પર આવેલી આશુતોષ પ્રાથમિક શાળામાં ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના આશરે 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના ટ્રસ્ટી મનીષાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, આશુતોષ વિદ્યાલયના ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું. આ રમતગમત ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવાનો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓને ચાર હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. દરેક હાઉસને એક કેપ્ટન આપવામાં આવ્યો હતો, જેણે પોતાના હાઉસને પ્રોત્સાહિત કરી આગળ વધાર્યું હતું.રેડ હાઉસના કેપ્ટન તરીકે અક્ષય મકવાણા હતા, જેમાં શિક્ષિકા મનીષા સુતરિયા અને પરીતા પટેલનો સમાવેશ થતો હતો. ગ્રીન હાઉસના કેપ્ટન અક્ષિતા કંટારિયા હતા, જેમાં શિક્ષક રૂપા ચુડાસમા અને અલ્પા દિહોરા હતા. યલો હાઉસના કેપ્ટન રાહુલ ગોહેલ હતા, જેમાં શિક્ષિકા નીતા ડાભી અને જાનકી મકવાણા હતા. બ્લુ હાઉસના કેપ્ટન જયદીપ ગોહેલ હતા, જેમાં શિક્ષિકા ફાલ્ગુની મકવાણા અને અલ્પા પાઠક હતા.આ સમગ્ર રમતગમત કાર્યક્રમની રૂપરેખા યશ ચાવડા અને જાનકી મકવાણા સહિત તમામ શિક્ષકગણે તૈયાર કરી હતી.
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી, અલગ અલગ આઇડીમાંથી ગાળો ભાંડી અમદાવાદના શખ્સે પજવણી કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી પંકજ વાઘેરા નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગાળો ભાંડી બનાવ અંગે થોરાળા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કબીર510 અને પંકજ વઘેરા નામની બે ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.12.10.2025ના રોજ ઇન્સ્ટાગ્રામ આઇડી પર સામાવાળાએ મેસેજ કર્યો હતો જે મેસેજનો પરિણીતાએ જવાબ નહિ આપતાં સામાવાળાએ સતત મેસેજ કરવાનું ચાલુ રાખતા પરિણીતાએ મેસેજ નહિ કરવાનું જણાવ્યું હતું. જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મેસેજ કરી પરિણીતાને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું જેથી પરિણીતાએ આ ઇન્સ્ટાગ્રામ આઇડીને બ્લોક કરી દેતા અન્ય ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મેસેજ કરી ગાળો આપી હતી. પતિના સ્ટેટ્સ પર અશ્લીલ કોમેન્ટ કરી હતી આ પછી પરિણીતાના પતિએ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકતા તે સ્ટોરીમાં પણ આરોપીએ અશ્લીલ કોમેન્ટ કરી પરિણીતાની જાતીય સતામણી કરી પ્રતિષ્ઠાને હાની પહોંચાડતા અંતે પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરતા ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મેસેજ કરી જાતીય સતામણી કરતો શખ્સ પંકજ વઘેરા અમદાવાદનો વતની હોવાનું જાણવા મળ્યું હતું જેની અટકાયત કરી પોલોસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રતા કેળવવા મેસેજ કર્યા હોવાનું આરોપીનું રટણ ઉલ્લેખનીય છે કે આરોપીની પુછપરછ કરતા તેને ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાની પ્રોફાઈલ જોઈ મિત્રતા કેળવવા મેસેજ કર્યા હતા પરંતુ પરિણીતાએ કોઈ પ્રતિક્રિયા નહિ આપતાં ઉશ્કેરાટમાં કૃત્ય આચર્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.
મોડાસામાં જેસીસ મીલ કમિટી દ્વારા તેની 50 વર્ષની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે પાંચ દિવસીય શ્રીકૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સામાજિક અને આધ્યાત્મિક જનહિતના ઉદ્દેશ્યથી યોજાશે.આ કથા દરમિયાન કૃષ્ણ ભક્ત સંતો જેવા કે મીરાબાઈ, જલારામ બાપા, નરસિંહ મહેતા, વલ્લભ પ્રભુ અને શ્રીમદ પ્રભુપાદની પ્રેરણાદાયી જીવનકથાઓ રજૂ કરવામાં આવશે. કથાના આરંભે અરવલ્લી પંથકના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાશે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરાશે. આ પ્રસંગે મોડાસા અને અરવલ્લી જિલ્લામાં સામાજિક જનહિત માટે નોંધપાત્ર કામગીરી કરનાર સામાજિક કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવશે. વધુમાં, વાલ્મિકી સમાજની દીકરીઓનું પૂજન અને સન્માન કાર્યક્રમ પણ યોજાશે. વ્યાસપીઠ પરથી મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજી કથાવાચન કરશે. જેસીસ મીલ કમિટીના ચેરમેન નવનીત પરીખ, ટ્રસ્ટી નિલેશ જોશી અને જીવદયા પ્રેમી મુકુંદ શાહ દ્વારા અપાયેલી માહિતી મુજબ, આ કથા 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી જેસીસ હોલ, નગરવાળાના નાકે, મોડાસા ખાતે યોજાશે.જેસીસ મીલ કમિટીની સુવર્ણ જયંતી નિમિત્તે આયોજિત આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને નગરજનો જોડાય તેવી અપેક્ષા છે.
ઉત્તર ગુજરાતના પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 'આપ્તજન મિલન સમારોહ' અને 'વડીલ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે સમાજના 831 વડીલોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાંચેય ગામના પરિષદ સાથે જોડાયેલા સ્વયંસેવકો અને વડીલો એકત્રિત થશે. તેઓ પરસ્પર સંવાદ, ઓળખાણ અને સહકારને પ્રોત્સાહન આપશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડીલોની વંદના રહેશે, જેમાં પરિષદ દ્વારા વડીલોને સન્માનપૂર્વક આદર આપવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ 10 અને 11 જાન્યુઆરી, 2026ના રોજ શંખેશ્વર ખાતે યોજાશે. આ પ્રસંગે સમાજની એકતા, શિક્ષણ, સામાજિક વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. દરેક ગામમાંથી વડીલોને લાવવા અને લઈ જવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સમાજબંધુઓ માટે સહભોજનનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના પ્રસિદ્ધ વક્તા શ્રી સંજય રાવલ 'ઢળતી સાંજનો જીવન બોધ' વિષય પર વક્તવ્ય આપશે. બીજા સેશનમાં 'જીવનના વીતેલા સમયનું સરવૈયું' વિષય આધારિત લોકગીત અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 'ઋણપ્રદાન' કાર્યક્રમ અંતર્ગત સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા પાંચેય ગામના 831 વડીલોનું શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરાશે. આયોજક સમિતિએ સમાજના તમામ સભ્યોને આ કાર્યક્રમમાં હાજર રહી તેને સફળ બનાવવા વિનંતી કરી છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા પાંચ શિક્ષકોના વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ પાંચ પરિવારોને કુલ 8 લાખ રૂપિયાની સહાયની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારના શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સાથે લાંબી રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોના પરિણામે, સરકારે રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2011 પછી અવસાન પામેલા શિક્ષકોને અનુક્રમે 4 લાખ, 8 લાખ અને 14 લાખની સહાય આપવા બાબતનો ઠરાવ પસાર કર્યો હતો. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2011 થી આજદિન સુધી અવસાન પામેલા શિક્ષકોના વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં રજૂ કરવામાં આવી હતી. તેમાંથી કુલ પાંચ દરખાસ્તો નવા વર્ષના પ્રથમ દિવસે જ મંજૂર થઈ છે. આ પરિવારોને ટૂંક સમયમાં ગ્રાન્ટ મેળવી સહાય ચૂકવવામાં આવશે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી એચ.કે દેસાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી સમગ્ર રાજ્યની કુલ 20 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજિત 162 જેટલા પરિવારોને નજીકના સમયમાં ઉચ્ચક નાણાકીય સહાયનો લાભ મળશે. મંજૂર થયેલી સહાયમાં સ્વ. અરુણભાઈ જોષી (શાળા નંબર 4) ને 8 લાખ, સ્વ. ફ્રેનીબેન પંડ્યા (શાળા નંબર 26) ને 8 લાખ, સ્વ. રસમીબેન ચૌહાણ ને 6 લાખ, સ્વ. રેખાબા રાણા (શાળા નંબર 29) ને 8 લાખ અને સ્વ. મનીષાબેન ટાંક ને 14 લાખની સહાયનો સમાવેશ થાય છે. આ સહાય 15 દિવસમાં ચૂકવવાની પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ એકલવાયા વડીલો સહિત ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને માસિક રાશન અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ શહેરમાં રહેતા અને આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો માટે જીવનનો આધાર બની છે. ફાઉન્ડેશન દ્વારા દર મહિને રાશન વિતરણ કરવામાં આવે છે, જે ગરીબ અને વંચિત પરિવારોને નિયમિત ખોરાકની સુરક્ષા પૂરી પાડે છે. આનાથી તેમને રોજિંદા ભોજનની ચિંતામાંથી રાહત મળે છે અને પરિવારના સભ્યોને પૂરતું તથા પોષક આહાર ઉપલબ્ધ થાય છે. વર્તમાન સમયમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે ઘણા પરિવારો માટે બે સમયનું ભોજન મેળવવું મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં, માસિક રાશન ઘરખર્ચનો બોજ ઘટાડે છે અને મર્યાદિત આવકને બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભાડા જેવી અન્ય આવશ્યકતાઓ માટે વાપરવાની તક પૂરી પાડે છે. આ સેવાકાર્ય માત્ર ખોરાક પૂરો પાડવા પૂરતું સીમિત નથી, પરંતુ જરૂરિયાતમંદોને આત્મસન્માન સાથે જીવવાની તક પણ આપે છે. નિયમિત સહાય મળવાથી પરિવારોમાં સુરક્ષા અને સ્થિરતાની ભાવના વધે છે, જેનાથી તેઓ સમાજ દ્વારા સમર્થિત હોવાનો અનુભવ કરે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય સામાજિક જવાબદારી, કરુણા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પહેલ સ્વયંસેવકો અને દાતાઓને પણ સમાજસેવામાં જોડાવા પ્રેરિત કરે છે, જે ગરીબી ઘટાડવા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
ઇન્ડસ યુનિવર્સિટીના રાંચરડા કેમ્પસ ખાતે 5 જાન્યુઆરી, 2026ના રોજ વાર્ષિક રમતોત્સવ 'ઇન્ડસ કપ 2K26'નો શુભારંભ થયો છે. આ યુનિવર્સિટીની મુખ્ય રમતગમત ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતવીર ભાવના, શિસ્ત, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ રાષ્ટ્રીય સ્તરના રમતોત્સવનું ઉદ્ઘાટન પ્રેસિડેન્ટિયલ સેક્રેટરિયટના ડો. નાગેશ ભંડારી અને ડો. રિતુ ભંડારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ યુનિવર્સિટીના ટોચના મેનેજમેન્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇન્ડસ કપ 2K26 માં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાઓ 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ રમતોત્સવમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ, પિકલબોલ, પિટ્ટુ, કબડ્ડી, વોલીબોલ, બોક્સ ક્રિકેટ, શોટપુટ, આર્મ રેસલિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન, ટગ ઓફ વોર, ટેબલ ટેનિસ અને ચેસ જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓને કુલ 10 લાખ રૂપિયા સુધીના રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે. ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય રમતોત્સવ વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ, રમતગમત પ્રત્યે ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ સ્પર્ધાની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવ 2026 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ખેડા મત વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. વાર્ષિકોત્સવનો પ્રારંભ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દિલીપસિંહ ચૌહાણે મહેમાનોનો શાબ્દિક પરિચય આપ્યો હતો. મંડળના પ્રમુખ ધીરેશભાઈ શાહે ધારાસભ્ય બાબુભાઈ પટેલનું બુકે અને શાલથી સન્માન કર્યું હતું. કારોબારી ટ્રસ્ટી મફતભાઈ પટેલે સાંસદ દેવુસિંહ ચૌહાણનું સન્માન કર્યું, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના E.I. નવલસિંહ ગોહિલનું સન્માન આચાર્ય દિલીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન બાબુભાઈ પટેલે શાળાને દસક્રોઈની શ્રેષ્ઠ શાળા ગણાવી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણે મંડળના પ્રમુખ ધીરેશભાઈ શાહ, તેમના પરિવારના સભ્યો અને ટ્રસ્ટીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા, જેમણે આર્થિક અને અન્ય સહયોગથી શાળાને આ સ્તરે પહોંચાડી છે. ત્યારબાદ વાર્ષિકોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં કે.જી.થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્યની અભિવ્યક્તિ કરી હતી. બાળકો દ્વારા માઈમ, ગરબા, નૃત્ય વગેરે જેવી રંગારંગ રજૂઆતો કરીને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. આ વાર્ષિકોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીતાબેન પટેલ અને હિરલબેન ચતુર્વેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મનીષા શુક્લ દ્વારા કરવામાં આવી હતી. ડાયરેક્ટર રમેશભાઈ પટેલના સતત માર્ગદર્શન અને શિક્ષકોના અથાક પ્રયત્નોથી વાર્ષિકોત્સવ 2026 અત્યંત સફળ રહ્યો.
વિદેશની ધરતી પર ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ નહીં પરંતુ સેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ પોતાનું નામ રોશન કરી રહ્યાં છે. આવું જ એક ગૌરવવંતું નામ છે કાંતિ પિંડોરિયા. ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ (MPS) માં વિવિધ ભૂમિકાઓ ભજવતા કાંતિ પિંડોરિયાને તાજેતરમાં જ મહારાજા ચાર્લ્સ ત્રીજાની નવા વર્ષ સન્માનની યાદી 2025માં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત સન્માન તેમના અડગ જાહેર સેવા ભાવ, સમુદાયની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા અને કરુણાભર્યા પોલીસિંગના મૂલ્યોનું પ્રતિબિંબ છે. તેમની સેવા દરમિયાન પી.સી. પિંડોરિયાએ અસાધારણ વ્યાવસાયિકતા, ઇમાનદારી અને સમુદાયના કલ્યાણ માટેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી છે. રહેવાસીઓ સાથે વિશ્વાસ બાંધવાની તેમની ક્ષમતા, સહાનુભૂતિપૂર્વક પ્રતિસાદ આપવાની તેમની રીત અને લોકો સાથે જોડાવાની તેમની કુશળતા સમુદાય પર લાંબા ગાળાનો સકારાત્મક પ્રભાવ મૂકે છે. એક વ્યક્તિ, ચાર જવાબદારીકાંતિ પિંડોરિયા મેટ્રોપોલિટન પોલીસમાં એકસાથે ચાર મહત્વની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે તેઓ મેટ્રોપોલિટન પોલીસ હિન્દુ એસોસિએશનના અધ્યક્ષ છે. પોલીસ સ્ટાફ છે, સ્પેશિયલ કોન્સ્ટેબલ પણ છે અને વોલેન્ટિયર પોલીસ કેડેટ લીડર પણ છે. વિશેષ વાત એ છે કે આ ભૂમિકાઓ તેઓ કોઇ પણ જાતના સ્વાર્થ વગર સ્વૈચ્છિક રીતે નિભાવી રહ્યા છે. તેમની પાસે કોઇ સત્તાવાર ઊંચો રેન્ક નથી પરંતુ તેઓ જણાવે છે કે તેમની દૈનિક કામગીરી એક ઇન્સ્પેક્ટર રેન્કની સમકક્ષ હોય છે. સમાજ અને પોલીસ વચ્ચે સેતુ બનવાનું કાર્યપોતાના કાર્ય વિશે વાત કરતા કાંતિ પિંડોરિયાએ જણાવ્યું હતું કે, મારું મુખ્ય લક્ષ્ય પોલીસ (MPS) અને સમાજ વચ્ચેના અંતરને દૂર કરવાનું છે. જ્યારે લોકો આપણા જેવી જ સંસ્કૃતિના વ્યક્તિને પોલીસમાં જુએ છે, ત્યારે તેમનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે. હું ઈચ્છું છું કે આપણા સમાજના વધુમાં વધુ લોકો પોલીસ ફોર્સમાં જોડાય. સામાજિક સેવામાં પણ અગ્રેસરમાત્ર પોલીસિંગ જ નહીં, કાંતિભાઈ સામાજિક સેવામાં પણ અગ્રેસર છે. તેઓ વિલ્સડેન સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની ચેરિટી શાખા Helping Handsના લીડર છે. તેઓ દર અઠવાડિયે ફૂડ બેન્ક ચલાવે છે. જેના દ્વારા અંદાજે 120 પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવે છે. તેઓ સ્વામિનારાયણ મંદિર (કેન્ટન)ની શાખા 'સદાવ્રત'સાથે મળીને દર મહિને લંડનમાં નિરાધાર લોકો માટે અભિયાન ચલાવે છે. આ અભિયાન હેઠળ જરૂરિયાતમંદોને ધાબળા, કપડાં, ખોરાક, ગરમ પીણાં અને ટોયલેટરીઝ જેવી જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. પોતાની આ સિદ્ધિ અને સન્માન બદલ તેઓ નમ્રતાપૂર્વક જણાવે છે કે, આ બધું એક ટીમ વર્કનું પરિણામ છે. તેમના પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને સ્વયંસેવકો જેઓ પોતાનો કિંમતી સમય આપીને સમાજ સેવામાં જોડાય છે, તેમના વગર આ સફળતા શક્ય નહોતી. બ્રિટિશ પોલીસ દળમાં એક ગુજરાતી તરીકે કાંતિ પિંડોરિયાની આ સફર અને નિઃસ્વાર્થ સેવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થેલેસેમિયા થવાના કારણો, લક્ષણો તથા બચાવ વિશે વક્તવ્ય યોજાયું હતું. આ પ્રસંગે વિષય નિષ્ણાત રોટેરીયન અનિલ સિંહે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે થેલેસેમિયા એક વારસાગત રક્ત વિકાર રોગ છે. આ રોગથી શરીરનું હિમોગ્લોબિન તથા લાલ રક્તકણો ઓછા થતા જાય છે, જેનાથી શરીરમાં ઓક્સિજનનું પરિવહન કરવા માટે જરૂરી તત્વોનો અભાવ સર્જાય છે. આ સ્થિતિને કારણે નબળાઈ અનુભવાય છે તથા રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે સૌપ્રથમ લોહીનો ટેસ્ટ કરાવવો પડે છે, જેનાથી થેલેસેમિયા છે કે નહીં તે જાણી શકાય છે. શરીરમાં લોહીનું પ્રમાણ ઘટવાથી વારંવાર લોહી ચડાવવું પડે છે. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, આના ઇલાજ માટે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવું પડે છે જે ખર્ચાળ છે. તેમણે ઉમેર્યું કે, આ રોગથી બચવા માટે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, જેનાથી સક્રિય અને સારું જીવન જીવી શકાય છે. સંતુલિત આહાર, યોગ્ય જીવનશૈલી, રસીકરણ, કુટુંબનો પ્રેમ તથા સકારાત્મક વિચારો દર્દીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરી શકે છે. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ રોટરી ક્લબના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. ચેતન મેવાડા તથા એન.એસ.એસ.ના કોઓર્ડિનેટર પ્રો. એચ.બી. ચૌધરીએ કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા તેમની સમસ્યાઓનું સમાધાન મેળવ્યું હતું.
ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના પુરવઠાને કારણે ટાઈફોઈડનો રોગચાળો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શહેરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડા સહિતના 6થી વધુ વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. આજે મંગળવારે વધુ 11 નવા પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ફાળ પડી છે. ગઈકાલે સિવિલ તંત્રે 152 દર્દીઓ જાહેર કર્યા હતા.જ્યારે આજે મનપા તંત્રએ સત્તાવાર 144 નો આંકડો જાહેર કર્યો છે.જોકે રાહતના સમાચાર એ છે કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 14 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે, પરંતુ હજુ પણ 85 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના જૂના સેક્ટરો હાલમાં પાણીજન્ય રોગચાળાની લપેટમાં આવ્યા છે. ખાસ કરીને સેક્ટર-24 થી 28 અને આદિવાડા સહિતના જીઆઈડીસી આસપાસના વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકા દ્વારા દર્દીઓના સાચા આંકડા છુપાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાની ગણગણાટ વહેતી થઈ છે. તંત્ર દ્વારા સ્થિતિ ગંભીર હોવા છતાં તેને 'સામાન્ય' દર્શાવવા મથામણ થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આદિવાડા વિસ્તારમાં ફિમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 85 ટીમો ઉતારવામાં આવીશહેરના આદિવાડા વિસ્તારમાં એક બાળકીનું શંકાસ્પદ મોત થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રોગચાળાને ડામવા માટે ફિમેલ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિતની કુલ 85 ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમોએ અત્યાર સુધીમાં 8,703 ઘરોનો સંપર્ક કરી અંદાજે 37,438ની વસ્તીનું સ્ક્રીનિંગ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને 7,192 ક્લોરીન ટેબલેટ અને 8,235 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા માટે પત્રિકાઓ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શહેરમાં પાણીના વિતરણમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઈજનેરી વિભાગ પણ સક્રિય થયો છે. તપાસ દરમિયાન શહેરમાં નાના-મોટા 36 જેટલા પાણીના લીકેજ મળી આવ્યા હતા, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. પાણીના સેમ્પલિંગ દરમિયાન 1,898 ટેસ્ટમાંથી 1,775માં ક્લોરીનની હાજરી જોવા મળી છે, જે પાણી પીવાલાયક હોવાનો નિર્દેશ કરે છે. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં 'સુપર ક્લોરીનેશન'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હંગામી ઓપીડી શરૂ કરવામાં આવીરોગચાળાની ગંભીરતાને જોતા મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને ત્યાં જ હંગામી ઓપીડી શરૂ કરાવી છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની સંખ્યા મોટી હોવાની આશંકા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર સરકારી આંકડા જ જાહેર કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલે તંત્રએ હવે ખાણીપીણીની લારીઓ પર પણ તવાઈ બોલાવી છે, જેમાં પાણીપુરી, બરફના ગોલા અને દૂધની બનાવટો વેચતા એકમોની તપાસ તેજ કરવામાં આવી છે. જોકે ટાઈફોઈડ અને લીકેજની સમસ્યા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન કમિશનરે આપેલા જવાબ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પાટનગરમાં રોગચાળો આ હદે વકરી જવા બદલ તંત્રની બેદરકારીને જવાબદાર ગણી શકાય કે નહીં? જવાબમાં મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ કહ્યુ હતું કે, ડહોળુ પાણી આવતું હોવા છતાં જનતાએ ફરિયાદ કરી ન હતી, આ તો જનતાની લાપરવાહી છે. નવી પાઈપલાઈનમાં વધારે લીકેજ છે કે જૂની પાઈપલાઈનમાં વધારે લીકેજ છે? તેવા સવાલનો જવાબ આપવાનું પણ કમિશનરે ટાળ્યુ હતું અને કુલ 36 લીકેજ પૂરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું.
અમદાવાદના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા 119મા શાળા સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ મિતાલીબહેને શાળાના સ્થાપનાદિનનું મહત્વ સમજાવ્યું હતું. નર્સરી, શિશુવર્ગ અને બાળવર્ગના વિદ્યાર્થીઓએ વિવિધ ડાન્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમના સમાપ્તિએ કેક કાપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિતાલીબહેન સરવૈયા, રૂચિતાબહેન રાવળ અને શ્રી નિયતીબહેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કો-ઓર્ડીનેટર આરતીબહેન પંચાલ અને પીનલબહેન રાવળે કાર્યક્રમના સુંદર આયોજન બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
માતા-પિતા બાંગ્લાદેશી હોવા છતાંય એક યુવક ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ બનાવ્યો હોવાના મામલે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલો હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે અરજદાર યુવકને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે અને એવું અવલોકન કર્યું છે કે, પ્રથમદ્રષ્ટિએ અરજદાર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. સક્ષમ સત્તાધીશો દ્વારા પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યોહાઇકોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો અને એવું નોંધ્યું હતું કે, સક્ષમ સત્તાધીશો દ્વારા તેને જે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યો છે, એના પ્રથમદ્રષ્ટિએ એવું જણાય છે કે તે ભારતીય નાગરિક છે. આરોપી સામે એવો આક્ષેપ હતો કે તે ભારતીય નાગરિક નથી. તેની જોડે કાયદેસરનો પાસપોર્ટ પણ છે અને એ બનાવટી પણ નથી. જોકે તેની સામે એવો આક્ષેપ છે કે તેના માતા-પિતા બાંગ્લાદેશની નાગરિકતા ધરાવે છે. અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. તેની સામે BNSની ધારા 319(2), ધારા 336(2), 338, 336(3), 340(2) અને 54 તથા પાસપોર્ટ એક્ટની ધારા 12(2) હેઠળ ચાર્જશિટ ફાઇલ કરવામાં આવી હતી. ભારતમાં જન્મ્યો હોવાનું બર્થ સર્ટિફિકેટ ઊભું કર્યુંઓથોરિટીનો તેની વિરૂદ્ધ એવો આક્ષેપ હતો કે, આરોપી અરજદારના માતા પિતા બાંગ્લાદેશની નાગરિકતા ધરાવતા હોવા છતાંય અરજદારે પોતે ભારતમાં જન્મ્યો હોય એવું બર્થ સર્ટિફિકેટ ઊભું કરવામાં આવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે એ જે હોય તે, પરંતુ આ કોર્ટ સમક્ષ જે હકીકતો સામે આવી છે એ મુજબ અરજદારના ચોક્કસ દસ્તાવેજોના આધારે તેને સક્ષમ ઓથોરિટી દ્વારા ભારતીય નાગરિકતા સાબિત કરતો પાસપોર્ટ ઇસ્યૂ કર્યો હતો. પાસપોર્ટ પોલીસ ઓથોરિટી દ્વારા જપ્ત કરાયોબીજું કે અરજદાર 27 મે, 2025થી કસ્ટડીમાં છે અને એનો પાસપોર્ટ પોલીસ ઓથોરિટી દ્વારા જપ્ત કરાયેલો છે. તેવા સંજોગોમાં આ કોર્ટ માને છે કે અરજદારને હવે વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાની કોઇ જરૂર જણાતી નથી. ઉક્ત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખતાં આ કેસની ફરિયાદમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એને નજરમાં રાખતાં અને પુરાવા પર વધુ ચર્ચા ન કરતાં આ કોર્ટનું માનવું છે કે પ્રથમદ્રષ્ટિએ અરજદારના પક્ષમાં આદેશ કરવા માટેનો આ ફીટ કેસ છે અને તેથી તેની રેગ્યુલર જામીનની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે. હાઈકોર્ટે શરતી જામીન આપવાનો આદેશ કર્યોહાઇકોર્ટે 10 હજારના બોન્ડ અને એટલી જ રકમના સ્યોરિટી પર શરતી જામીન આપવાનો આદેશ કર્યો છે. સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી છે કે ટ્રાયલ કોર્ટે હાઇકોર્ટે જામીનની અરજીના આદેશમાં જે અવલોકન કર્યા છે એનાથી પ્રભાવિત થવાનું રહેશે નહીં. એ અવલોકન પ્રાથમિક તબક્કાના છે અને એ માત્રને માત્ર અરજદારની જામીન અરજીનો નિર્ણય કરવા પુરતા છે.
સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) ખાતે EcoVibe Creation Club દ્વારા Best Out of Waste Workshop – Turning Waste into Sustainable Creations વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કચરાનો સર્જનાત્મક રીતે પુનઃઉપયોગ કરતા શીખવવાનો હતો. નિષ્ણાત વીના પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. વર્કશોપ દરમિયાન પ્લાસ્ટિક બોટલ્સ, જૂના અખબારો, કાર્ડબોર્ડ, ટીન કેન, બોટલ કેપ્સ અને જૂના કપડાં જેવા વેસ્ટ મટિરિયલ્સમાંથી આકર્ષક ઇકો-ક્રાફ્ટ્સ બનાવવાની રીતો શીખવવામાં આવી હતી. આ વર્કશોપમાં રિસાયક્લિંગ અને અપસાયક્લિંગના મૂળભૂત સિદ્ધાંતો, પર્યાવરણ સંરક્ષણનું મહત્વ અને ટકાઉ વિચારધારા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને નવીન વિચારો રજૂ કર્યા. આ વર્કશોપના સંકલનકાર તરીકે ડૉ. આનલ દેસાઈ (BCA વિભાગ) અને ઉન્નતિ પરમાર (IMCA વિભાગ) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટે પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને કચરાના જવાબદાર ઉપયોગની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં “Reduce, Reuse and Recycle” ના સિદ્ધાંતો અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આયોજકોએ જણાવ્યું કે આવા વર્કશોપ્સ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે છે અને તેમને સર્જનાત્મક તથા સામાજિક રીતે જાગૃત નાગરિક બનવામાં મદદરૂપ થાય છે. આ વર્કશોપને સફળ બનાવવા માટે ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓનું સક્રિય યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડા ગામે જયદીપભાઈની વાડીમાં રહેતા કમલેશભાઈ ગુણેશિયાની દોઢ વર્ષની દીકરી નાનકી તા.02.01.2026ના રોજ બપોરના 12 વાગ્યાં આસપાસ વાડીમાં ઘર પાસે રમતી હતી દરમ્યાન ત્યાં જીરુંમાં છાંટવાની જંતુનાશક દવા પડી હતી જે નાનકીના હાથમા આવી જતા તે બોટલ મોઢામાં નાખતા દવા પી ગઈ હતી. માતા પિતાનું ધ્યાન પડતા નાનકીના હાથમાંથી દવાની બોટલ લઈ લીધી હતી પરંતુ થોડી દવા પીવાઈ જતા તાત્કાલિક તેને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અહીં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બાળકીના પિતા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પતિને પડોશી મહિલા સાથે આંખ મળી ગઈ રાજકોટના ઠેબચડા ગામે રહેતી રાધાબેન મનસુખભાઈ ડાભી (ઉ.વ.30) નામની પરિણીતા હરિભાઈની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી પ્રાથમિક પૂછપરછ કરતા રાધાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ મનસુખભાઈ ડાભીને છેલ્લા દોઢ મહિનાથી પડોશમાં રહેતી પરિણીતા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે મનસુખ ડાભી અને તેની પરિણીત પ્રેમિકા શિવ શક્તિ હોટલ ખાતે ચા નાસ્તો કરતા હતા દરમિયાન રાધાબેન ડાભી શિવ શક્તિ હોટલ ખાતે આવી હતી અને પતિની પ્રેમલીલાનો ભાંડો ફોડવા વિડીયો ઉતારી ફોટા પાડ્યા હતા. જે મુદ્દે પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપાયેલા પતિએ ઝઘડો કરતા રાધાબેન ડાભીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.અગમ્ય કારણોસર વૃદ્ધે ઝેરી દવા પી કરી આત્મહત્યા હરસુખભાઈ પ્રભુદાસભાઈ વિઠ્ઠલાણી (ઉં.વ.71) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ પોતાના બાઈક ઉપર પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ઘરે આવતા હતા ત્યારે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે રેલનગર હાઇવે પર એડીબી હોટલ નજીક ઝેરી દવા પી લીધી હતી તેમને તત્કાલ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ડોક્ટરે તેમને સાંજે 7.30 વાગ્યા આસપાસ મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધે કયાં કારણસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે ચોક્કા કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.ઘરકંકાશથી કંટાળી યુવકનો આપઘાત ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ વેજીયા (ઉં.વ.35) ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પંખાના હુંકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ બી. ડિવિઝન પોલીસને થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે તેમને પત્ની સાથે કોઈ કારણે ઝઘડો થતાં પત્ની ત્રણ દિવસથી પોતાના માવતરે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પિતાના ઘરે ચાલી ગઈ હતી. બનાવના સમયે ઘરે ભાવેશભાઈ અને તેનો 10 વર્ષનો પુત્ર હતા. દસ વર્ષનો પુત્ર થોડીવાર ઘર બહાર ગયો અને પછી તેણે આવીને ઘરમાં જોયું તો તેના પિતા ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. તેણે હડાળા ખાતે રહેતા પોતાના દાદાને ફોન કર્યો હતો અને દાદા ઝડપથી ઘરે આવો તેમ કહ્યું હતું જેથી તેમના દાદા ઘરે આવતા પરિવારજનો અને સગા સંબંધીને ભાવેશભાઈના ગળાફાંસા અંગે જાણ થઈ હતી. પોલીસ તપાસમાં હાલ ઘરકંકાસથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
સોની યુથ સર્કલ અમદાવાદ (પૂર્વ) દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન ખાતે 'જયશ્રીકૃષ્ણ ડાર્લિંગ' શીર્ષકનું ગુજરાતી સામાજિક નાટક યોજાયું. આ કાર્યક્રમ સોની જ્ઞાતિજનો માટે ખાસ આયોજિત કરાયો હતો. આ નાટકમાં સોની સમાજના અગ્રણી હોદ્દેદારો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ સુંદર નાટકનો આનંદ માણ્યો હતો. મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને યુવા સભ્યો શ્રી હેતનભાઈ, નીરવભાઈ, અંકિતભાઈ, નિકુંજભાઈ, તેજસભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા સઘન પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ અને યુવા સભ્યોનું બુકે આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અગ્રણી શ્રી હેમેન્દ્રભાઈ સોનીએ આશીર્વાચન પાઠવ્યા હતા.
મહેસાણા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાઓ (ગ્રામ્ય વિસ્તાર) માં શ્રી યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળાને ₹1,00,000 (એક લાખ રૂપિયા) નું ઇનામ પણ મળ્યું છે. સંસ્થાના પ્રમુખ ઠા.સા. વિરેન્દ્રસિંહજી કે. ચૌહાણ અને મંત્રી પંકજભાઈ ડી. કોઠારી સહિત તમામ કારોબારી સભ્યોએ શાળાના આચાર્ય અલકાબેન અને સ્ટાફ મિત્રોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
માલવિયા પિપરિયા ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3:વશિષ્ઠ સ્કૂલ વિજેતા, PC કોમ્પ્યુટર રનર અપ બન્યા
માલવિયા પિપરિયામાં યુવાનો દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ ટુર્નામેન્ટમાં વશિષ્ઠ સ્કૂલની ટીમ વિજેતા બની હતી, જ્યારે PC કોમ્પ્યુટરની ટીમ રનર અપ રહી હતી. આ ટુર્નામેન્ટમાં ગામના તમામ યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ક્રિકેટની મજા માણવા ઉપરાંત, આયોજકો દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ પ્રેમીઓએ આ ખેલને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણા સ્પોન્સર્સ દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું. ગામના વડીલો, પરિવારો અને નાના બાળકો પણ ટુર્નામેન્ટમાં હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. છેલ્લા બે મહિનાથી ટુર્નામેન્ટ કમિટીના સભ્યોએ આયોજન માટે સખત મહેનત કરી હતી, જેના પરિણામે આ સીઝન 3 સફળ બની હતી.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0 યોજાયો:55 ટીમોના 291થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
શાંતિ બિઝનેસ સ્કૂલના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ દ્વારા તાજેતરમાં એસબીએસ (SBS) સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ફિટનેસ, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના સાથે ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કુલ નવ રમતોનો સમાવેશ થતો હતો, જેમાં કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, દોડ અને બેડમિન્ટનનો સમાવેશ થાય છે. વિવિધ શાખાઓ અને સેમેસ્ટરનું પ્રતિનિધિત્વ કરતી કુલ 55 ટીમોના 291થી વધુ વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો, જેનાથી સ્પર્ધાત્મક છતાં મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ઉદઘાટન સમારોહ સાથે થયો હતો. આ પ્રસંગે SBS ના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈ અને ડીન ડૉ. રિંકી રોલા ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ નેતૃત્વ, શિસ્ત અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવામાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. સ્પોર્ટ્સ ફિએસ્ટા 2.0નું સંકલન રાહુલ રાઠોડ અને ડૉ. હેમલતા જેઠાનંદાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના આયોજનથી તમામ મેચોમાં સરળ સમયપત્રક, નિષ્પક્ષ રમત અને વ્યાવસાયિક આચરણ સુનિશ્ચિત થયું હતું. મેનેજમેન્ટ અને ફેકલ્ટીએ તમામ સહભાગીઓ, વિજેતા ટીમો અને સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને શૈક્ષણિક તેમજ રમતગમત દ્વારા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની SBSની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ કૂવા દરવાજા પાસે આવેલા રેવડી બજારમાં સાત જેટલી રોડ પરની ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી અને 4200 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. જેના કારણે થઈને પાંચકુવા ફાયર સ્ટેશન પાસેના રોડ પર ખૂબ મોટી જગ્યા ખુલ્લી થઈ જશે. શહેરના અસારવા વિસ્તારમાં અભિષેક એસ્ટેટ વિભાગ-1માં સેકન્ડ ફ્લોરના ગેરકાયદેસર બનાવવામાં આવેલા 5000 ચોરસ ફુટના 5 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડને પણ તોડી પાડવામાં આવ્યા છે. નોટિસ આપવા છતાં ટેક્સ ભર્યો નહીંમ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે પણ ટેક્સધારક દ્વારા ટેક્સ ભરવામાં આવ્યો નથી તેમને અવારનવાર નોટિસ આપીને ટેક્સ ભરવા માટે જાણ કરવામાં આવી છે છતાં પણ તેઓ દ્વારા ટેક્સ ભરવામાં આવ્યો નથી જેને સીલ કરવાની કાર્યવાહી ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, અમરાઈવાડી, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં બાકી ટેક્સધારકો સામે મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી છે. બાકી ટેક્સધારકોની મિલકતો સીલદક્ષિણ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા લાંભા વિસ્તારમાં આવેલા સંઘાણી ઉપવન, અમરાઈવાડીમાં સ્વસ્તિક મોલ, પાણી લીમડા ચંડોળા તળાવ સામે આવેલા ગુડલક કેરલ એન્ડ ટીન માર્કેટ, નારોલ સરખેજ રોડ પર આવેલી રાહત હોટેલ, ગીતામંદિર રોડ પર આવેલી સરકારી લાટી નંબર-1, મણિનગર પ્રેમ સાગર એપાર્ટમેન્ટ સહિતની મિલકતોના ટેક્સ બાકી હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પાટણ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં સફળ:રાજ્ય કક્ષાએ સુગમ સંગીત અને હાર્મોનિયમમાં દ્વિતીય સ્થાન
ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સ્પર્ધા 31 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. આ સ્પર્ધામાં કોલેજના સંગીત વિભાગમાંથી કુલ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને કોલેજનું નામ રોશન કર્યું છે. સુગમ સંગીત સ્પર્ધામાં ૨૧ થી ૫૯ વર્ષની કેટેગરીમાં કુમારી શિખા નાયકે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે હાર્મોનિયમ (વાદન) સ્પર્ધામાં એ જ કેટેગરીમાં ઋષિ પટેલે દ્વિતીય ક્રમે રહીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને વિદ્યાર્થીઓને કોલેજના સંગીત વિભાગના પ્રાધ્યાપક ડૉ. સમ્યક પારેખ દ્વારા નિયમિત અને સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી રહી છે, જે તેમની આ સફળતાનો મુખ્ય આધાર બની છે. વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ, કોલેજના આચાર્ય ડૉ. રીટાબેન પારેખ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
રાજકોટમાં ચાલી રહેલી હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે જાણીતી સ્વેચ્છિક સંસ્થા છે, જે લોકભાગીદારીથી ચેકડેમોના નિર્માણ દ્વારા જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે કાર્યરત છે. સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના વરિષ્ઠ સંત હરિપ્રસાદ સ્વામીજીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, નવી પેઢી માટે જળસંચય એ સૌથી મોટી સેવા છે. ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે ચેકડેમો અને જળસ્ત્રોત પુનઃ જીવંત કરવાનું કામ થઈ રહ્યું છે, તે જોઈને અંતરથી આનંદ થાય છે. સ્વામી હરિપ્રસાદજીએ વધુમાં નિર્દેશ કર્યો હતો કે, જળ એ જ જીવન છે અને જે વ્યક્તિ પાણી બચાવે છે તે ખરેખર ઈશ્વરની સેવા કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો જો સમૃદ્ધ હશે તો જ રાષ્ટ્ર સમૃદ્ધ થશે અને પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. તેમણે દિલીપભાઈ અને તેમની ટીમના ધરતી માતાને હરિયાળી રાખવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આ ભગીરથ કાર્ય અવિરત ચાલતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સ્વામીજીના આશીર્વાદથી ગિરગંગા પરિવાર ટ્રસ્ટને નવી ઉર્જા મળી છે. સ્વામીજીના આશીર્વાદ સૌરાષ્ટ્રના દરેક ગામમાં પાણીના સ્તર ઊંચા લાવવા અને જીવસૃષ્ટિને પાણી માટે વલખા ન મારવા પડે તેવા ટ્રસ્ટના લક્ષ્યને વધુ જોરશોરથી કામ કરવાની પ્રેરણા આપશે. આ મુલાકાત પૂર્વે સ્વામી હરિપ્રસાદજીએ વીરવીરૂ ચેકડેમના જલ વધામણાં કર્યા હતા. તેમણે ટ્રસ્ટ દ્વારા નિર્મિત ચેકડેમો અને જળસંચયના કાર્યોને નજરે નિહાળી ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્વામી હરિપ્રસાદજી સાથે ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, પુનિતભાઈ ચોવટિયા, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ ભાલાણી, ભરતભાઈ પાનેલીયા, પંકજભાઈ વેગડા, ગૌરાંગભાઈ ઠક્કર, હરદેવસિહ જાડેજા, વિઠ્ઠલભાઈ બાલધા, પરસોતમભાઈ કમાણી, ભરતભાઈ ભુવા, કિશોરભાઈ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા સહિત ગિરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્ધારિત 'શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન' થીમ હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો અને તેમાં થતી જાનહાનિને અટકાવવાનો છે. આ ઉજવણી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન, એટલે કે તા. 1 થી તા. 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાભરમાં ટ્રાફિક નિયમો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ રોડ સેફ્ટી અભિયાનના ભાગરૂપે, મોડાસા RTO કચેરીથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા માર્ગ સલામતીનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો.અભિયાન અંતર્ગત વાહનચાલકોને રેડિયમ પટ્ટી લગાવવા, દ્વિચક્ર અને ચતુર્થ ચક્ર વાહનચાલકો માટે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ, ઓવર સ્પીડિંગના ગંભીર પરિણામો, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવાના જોખમો અને ટ્રાફિક સિગ્નલ તથા માર્ગ ચિહ્નોનું પાલન કરવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ સલામતી જાગૃતિના હેતુ સાથે આયોજિત બાઇક રેલીમાં યુવાનો, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલી દરમિયાન ‘હેલ્મેટ પહેરો – જીવન બચાવો’, ‘ઝડપ નહીં, સલામતી મહત્વપૂર્ણ’ અને ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો’ જેવા સંદેશાઓ સાથે લોકોને સલામત વાહનચાલનનો સંકલ્પ કરાવવામાં આવ્યો.અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર, આ જનજાગૃતિ અભિયાન આગામી એક મહિના સુધી સતત ચાલુ રહેશે. જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિ શિબિરો, સ્કૂલ-કોલેજ કાર્યક્રમો, ડેમો પ્રદર્શન, પેમ્પલેટ વિતરણ અને ટ્રાફિક ચેકિંગ સાથે સમજણ આપવામાં આવશે.માર્ગ સલામતી એ માત્ર કાયદો નહીં, પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026 દરેક માટે જીવન રક્ષાનો સંદેશ બની રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના થલતેજ, નિકોલ અને નરોડા વિસ્તારમાં આવેલા શૈક્ષણિક હેતુ માટેના ત્રણ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે આપશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રકારના સ્કૂલના બાંધકામ માટે જ આ જગ્યા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્લોટના વેચાણથી 72 કરોડ રૂપિયાથી વધારે આવક થશે. આગામી 10મી ફેબ્રુઆરીના રોજ આ પ્લોટની જાહેર હરાજી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત મળતા વિવિધ હેતુ માટેના પ્લોટ માં કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટેના પ્લોટના વેચાણ કરી અને આવક ઊભી કરવામાં આવે છે જોકે કોર્પોરેશન તંત્ર દ્વારા લાંબા સમય બાદ સ્કૂલ માટે પ્લોટની હરાજી કરવામાં આવી રહી છે. વર્ષ 2005ના વર્ષમાં શૈક્ષણિક હેતુ માટેના પ્લોટની હરાજી કર્યા બાદ હવે લાંબા સમય પછી ફરી એક વખત શૈક્ષણિક હેતુ જેમાં પણ સ્કૂલના બાંધકામ માટેના હેતુ માટેના પ્લોટની હરાજી જાહેર કરી છે. જાહેર હરાજીથી ભાડા પટ્ટા માટે પ્લોટની ફાળવણી કરાશે. જેમાં સૌથી મોંઘો પ્લોટ થલતેજ વિસ્તારનો છે જ્યારે સૌથી સસ્તો પ્લોટ નિકોલ વિસ્તારનો છે. તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર મુજબ 50 ટકા લેખે નક્કી કરવામાં આવી છે. આ પ્લોટ ભાડાપટ્ટે અપાશેAMC દ્વારા જે પ્લોટ ભાડાપટ્ટે આપવા માટે મૂકવામાં આવ્યા છે તેમાં નિકોલના પ્લોટનું ક્ષેત્રફળ 2083 ચો.મી. અને બેઝ પ્રાઈઝ 5.83 કરોડ છે. જ્યારે થલતેજના પ્લોટનું ક્ષેત્રફળ 3663 ચો.મી. અને બેઝ પ્રાઈઝ 50.90 કરોડ રૂપિયા છે. જ્યારે નરોડા વિસ્તારના પ્લોટનું ક્ષેત્રફળ 4427 ચો.મી અને બેઝ પ્રાઈઝ 15.49 કરોડ રૂપિયા છે.
સુમુલ ડેરીના સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે કામરેજ, બારડોલી અને માંડવી સહિતના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પશુપાલકો અને મંડળીના હોદ્દેદારો સુમુલ ડેરી પર ઉમટી પડ્યા હતા. ભારે આક્રોશ સાથે થયેલા આ 'હલ્લાબોલ' કાર્યક્રમથી ડેરી સંકુલમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ તાલુકાઓમાંથી પશુપાલકોના ટોળેટોળા ડેરી પર પહોંચવાનું શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજ કરતાં પણ વધુ સંખ્યામાં લોકો હાજર રહેતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુપાલકોએ એક જ અવાજે માગ કરી હતી કે, અમારી ડેરીમાં વહીવટદારોનું શાસન નહીં, પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખ જોઈએ. પાંચ મહિનાની ટર્મ પૂર્ણ છતાં ચૂંટણી કેમ નથી યોજાતી?પશુપાલકોએ મેનેજિંગ ડિરેક્ટર અને કસ્ટોડિયનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ મહિનાથી ટર્મ પૂરી થઈ હોવા છતાં ચૂંટણી કેમ નથી યોજાતી? અને કાયદાકીય ગૂંચવણો ઉભી કરીને શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે? તેવા આકરા સવાલો સાથે પશુપાલકોએ તંત્રને ભીંસમાં લીધું હતું. ડેરીના પૂર્વ ઉપપ્રમુખ અને MD વચ્ચેના વિવાદની પણ અહીં ગુંજ જોવા મળી હતી. ઓગસ્ટ-2025માં મુદત પૂરી થઈ હોવા છતાં જાન્યુઆરી સુધી કોઈ હિલચાલ નથી. કેટલીક મંડળીઓને હાથા બનાવીને જાણીજોઈને કોર્ટમાં કેસ ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. 9 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણીઆજના આટલા મોટા શક્તિપ્રદર્શન બાદ સુમુલ ડેરીનું વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દબાણમાં આવી શકે છે. આગામી 9 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, ત્યારે પશુપાલકોનો આ આક્રોશ કોર્ટના વલણ કે તંત્રના નિર્ણય પર કેવી અસર પાડે છે તે જોવું રહ્યું.
પિયાવા પટેલ સમાજનું 26મું વાર્ષિક સ્નેહમિલન:અમદાવાદના નિકોલ ખાતે યોજાયું, બાળકોને માર્ગદર્શન અપાયું
અમદાવાદના નિકોલ ખાતે પિયાવા ગામ પટેલ સમાજનું 26મું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમાજના સભ્યોએ એકબીજા સાથે સ્નેહપૂર્ણ વાતાવરણમાં મુલાકાત કરી હતી. ગામ પરિવારના છોડને વટવૃક્ષ બનાવવામાં ભરતભાઈ હીરપરા, જયસુખભાઈ રૈયાણી, પ્રેમજીભાઈ રાદડિયા, શાંતિલાલ રૈયાણી અને પરશોતમભાઈ રાદડિયા જેવા વડીલોનું સતત માર્ગદર્શન અને હૂંફ મળતી રહી છે. આ વડીલોના પ્રયાસોથી સમાજ 26 વર્ષથી સક્રિય છે. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રભાવના જગાડવા માટે રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, વર્ષ દરમિયાન અવસાન પામેલા પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં દર્શનભાઈ કાનાણી મહેમાન પદે હાજર રહ્યા હતા. તેમણે બાળકોને અભ્યાસ વિશે અને સરકાર તરફથી મળતી સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પિયાવા પટેલ સમાજના બંધારણ મુજબ, મુખ્ય મહેમાન પદે માત્ર શિક્ષિત વ્યક્તિને જ આમંત્રિત કરવામાં આવે છે, જેથી તેઓ વિદ્યાર્થીઓ અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી શકે. સમાજનો મુખ્ય ઉદ્દેશ બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવી તેનો વિકાસ કરવાનો છે. આ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ધાર્મિક અને માર્મિક નૃત્યો રજૂ કર્યા હતા. અભ્યાસમાં તેજસ્વી બાળકોને અને કૃતિ રજૂ કરનારાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોની માહિતી ગુપ્ત રાખીને તેમની સ્કૂલની ફી પણ ભરવામાં આવે છે. ઉપરાંત, વિધવા બહેનોને પણ મદદ કરવામાં આવે છે, જે એક સરાહનીય કામગીરી છે. આ સંસ્થાના પ્રમુખ પદે વિનુભાઈ હીરપરા, ઉપપ્રમુખ જયંતીભાઈ ઠુંમર, મંત્રી ધર્મેશભાઈ વાળદોરિયા અને સહમંત્રી નરેશભાઈ પાનસુરિયા સેવા આપી રહ્યા છે. કારોબારી સભ્યો, યુવા ટીમ અને મહિલા ટીમે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરી હતી. બળદેવભાઈ રૈયાણી, નિકુંજ રૈયાણી, પાર્થ હીરપરા, યસ હીરપરા, ધાર્મિક હીરપરા, ભદ્રેશ રાદડિયા, અક્ષય પાનસુરિયા, નિકુંજ ચાંચડ, જયદીપ વિરાણી, હિમાંશુ ઠુંમર, અજય તળાવિયા, ધ્રુવિન ઠુમર, કૃતિકાબેન વાળદોરિયા અને રેન્સીબેન હીરપરા સહિતના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામના સુરત ખાતે વસતા પરિવારજનોનું સ્નેહમિલન સમારોહ સરથાણા જકાતનાકા, સુરત સ્થિત એ-વન ફાર્મ ખાતે યોજાયો હતો. ગામના અગ્રણી અજય સોંડાગરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા વર્ષોથી આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા, આશાદીપ ગ્રૂપના સંચાલક મહેશભાઈ રામાણી, બ્રિજેશભાઈ ખીમાણી, નારણભાઈ હિરપરા, મનુભાઈ બારોટ, મધુભાઈ ધામેલીયા, વિનુભાઈ ડોબરીયા, હસમુખભાઈ રફાળીયા, જીજ્ઞેશભાઈ ઢોલા સહિત મોટી સંખ્યામાં ગામના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ યુવાનોને સંસ્કૃતિ જાળવવા અને સરકારી નિયમોનું પાલન કરવા આહવાન કર્યું હતું. અશોકભાઈ જીરાવાળાએ પરિવાર ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. શૈલેષભાઈ રામાણીએ કેન્સર પીડિત દર્દીઓ માટે તેમના દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક સેન્ટર વિશે માહિતી આપી હતી, જ્યારે જીજ્ઞેશભાઈ ઢોલાએ માતૃ-પિતૃ વંદના પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ગામના સરકારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજય સોંડાગર, આશિષ ઘવા અને ધ્રુવીકા સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા માટે પ્રમુખ ચીમનભાઈ ગજેરા, ઉપપ્રમુખ કિશોરભાઈ ગોરસિયા, મંત્રી ઘનશ્યામભાઈ પાધરા, સહમંત્રી પ્રકાશભાઈ ડોબરીયા, ખજાનચી જીતુભાઇ ડોબરીયા, સહખજાનચી આશિષભાઈ બાવીશી, કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ પાધરા સહિત યુવા કમિટીએ જહેમત ઉઠાવી હતી. ગામ પરિવારના નાના બાળકો દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા અને સૌએ સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 બોટલ રક્ત એકત્ર થયું હતું.

28 C