વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું આ ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનને અર્પણ કરેલા કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરારઆ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચોર ઈસમે ચાંદીનું મોટું છત્ર, ચાંદીનું નાનું છત્ર, દાન પેટીમાંથી ચોરાયેલ રોકડ રકમ મળી કુલ 45,200ની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને અજાણ્યા ચોર શખસ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તકો આપણા મિત્રો (અક્ષરલેખન) અને મારી કલ્પનાનું પુસ્તકાલય જેવા વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખવા આ પહેલ પ્રેરણાદાયક બની રહી છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહૂડ લાઇબ્રેરીના પ્રમુખ એ.જે. મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, મિનેશભાઈ ગાંધી, તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનથી પ્રેરણા લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ જગતના અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં બેસતા જ 400 કિમી સ્પીડ બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ તમને થશે. જેના માટે બારીમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને તેમાં અમદાવાદથી મુંબઈના રિયલ દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેને શૂટ કરતા 45 દિવસનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પર લક્ઝુરિયસ છે. ધ બુલેટ રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં કામ અર્થે ચાઈના જવાનો અવસર મળ્યો હતો. તે સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાર બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030માં બુલેટ ટ્રેનનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી છે. જેથી મને વિચાર આવ્યો કે બુલેટ ટ્રેનમાં લોકો વર્ષ 2030માં મુસાફરી કરશે પણ તે પહેલા તેઓને બુલેટ ટ્રેનમાં બેસવા જેવો અનુભવ મળે એના માટે કંઈક કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, અમે 45 દિવસ મુંબઈથી અમદાવાદના રૂટ પર શૂટ કર્યું હતું અને તે શૂટિંગને LED સ્કિન ઉપર મૂકવામાં આવ્યું છે. જેનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને ટ્રેનમાં બેઠા હોય તેવું ફિલ થશે. જે માટે 3 મહિના સુધી 100 લોકોની ટીમ કામે લાગી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભારતમાં વર્ષ 2030 સુધીમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, અમે તે અંગેની જરૂરી માહિતી એકત્રિત કરી હતી. એ જ માહિતીના આધારે અમે આ 'ડમી ટ્રેન' બનાવી છે, જે બહારથી જોતા તમને બિલકુલ અસલી ટ્રેન જેવો જ અનુભવ કરાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પૂરો પ્રયાસ છે કે લોકોને અહીં અદ્ભુત અનુભવ મળે. ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ઘર જેવું જ ભોજન મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. તેના માટે અમે 'ઓપન કિચન' રાખ્યું છે, જે કાચમાંથી તમે સીધું જોઈ શકો છો અને રસોઈમાં વપરાતી સ્વચ્છતાની ખાતરી કરી શકો છો. આ એક મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે કે અહીં ખાસ્સું લાંબુ મેનુ છે. તેઓએ વધુમાં કહ્યું કે, એક ખાસ વાત એ છે કે અત્યારે બજારમાં LPG ની અછત હોવાને કારણે અમે 'બ્લેક'માં ગેસ લેવાનું ટાળ્યું છે. હાલ પૂરતું અમે 'NON-LPG' મેનુ લોન્ચ કર્યું છે, જેમાં લગભગ 30-32 આઈટમ્સ ઉપલબ્ધ છે. એકવાર કાયદેસર રીતે ગેસની સુવિધા ઉપલબ્ધ થાય પછી અમે સંપૂર્ણ મેનુ શરૂ કરીશું.વડોદરા શહેરની અન્ય મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સની સરખામણીએ અમે ભાવ 20 થી 30 ટકા ઓછા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ આ અનોખા વાતાવરણમાં ભોજનનો આનંદ માણી શકે.ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે અલગ-અલગ કન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય કે એવી કોઈ પણ જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ ફેમિલીએ આ 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટમાં ખૂબ જ સુંદર કન્સેપ્ટ રજૂ કર્યો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ગુજરાતીઓને ખાવાનો ખૂબ શોખ હોય છે. ભલે ઘરે મહેમાન આવે કે ન આવે, બહાર જમવાના પ્લાન હંમેશા તૈયાર જ હોય છે! ગુજરાતીઓ માટે સૌથી પહેલી પ્રયોરીટી એ હોય છે કે પરિવારને શુદ્ધ અને સરસ જમવાનું મળે. આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તેઓ જેવું શુદ્ધ ભોજન ઘરે જમે છે, એવું જ લોકોને પીરસે.તેઓએ કહ્યું કે, આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત તેનો બુલેટ ટ્રેન કન્સેપ્ટ છે. મેં અત્યાર સુધી ક્યાંય પણ આવો અનોખો પ્રયોગ જોયો નથી. જ્યારે તમે તમારા ફેમિલી સાથે લંચ કે ડિનર લઈ રહ્યા હોવ અને તમને એવું અનુભવાય કે તમે બુલેટ ટ્રેનમાં બેસીને શાંતિથી મુસાફરી કરી રહ્યા છો, તો એ ખરેખર 'પૈસા વસૂલ' કન્સેપ્ટ છે.હું વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે હવે જ્યારે પણ તમે પરિવાર સાથે બહાર જમવાનો પ્લાન કરો, ત્યારે સેવન સીઝ મોલમાં આવેલી 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ ની મુલાકાત જરૂર લેજો.તરોનિશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ જ નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બેસીને એવું લાગે છે કે જાણે આપણે સાચે જ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ. તમે પાછળ જોશો તો તમને લાગશે કે તમે ખરેખર બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને સાથે જમવાની મજા માણી રહ્યા છો. ખૂબ જ સારો અનુભવ છે, એટલે અહીં ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. લોકોએ અહીં ચોક્કસ આવવું જોઈએ. અહીં તમને બિલકુલ નવો જ અનુભવ મળશે, તો એકવાર અહીં જરૂર મુલાકાત લો. ગ્રાહક મોનલબેને જણાવ્યું હતું કે, આ એકદમ નવો કન્સેપ્ટ છે. મેં આવું પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું પણ નહોતું. મને આ કન્સેપ્ટ ખૂબ જ સરસ લાગ્યો. જ્યારે તમે અંદર બેસીને આનો અનુભવ કરો ત્યારે જ ખબર પડે. બિલકુલ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ તેવી જ ફીલિંગ આ રેસ્ટોરન્ટમાં બેસીને આવે છે. અહીંની બધી જ સુવિધાઓ ખૂબ જ સરસ છે.
અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈડ પર સેફ્ટી નેટના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બનાવના પાંચ મહિનાથી વધુ સમય બાદ બિલ્ડર એન્જિનિયર કોન્ટ્રાક્ટર સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રીજા માળેથી પડવાના કારણે મોતરાજસ્થાનમાં રહેતા ગોવિંદ નીનામા નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ અનિલ એસ.પી. રીંગ રોડ હેબતપુર ખાતે આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા હતા. 30 સપ્ટેમ્બર ના રોજ અનિલનું કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી પડવાના કારણે મોત થયું હતું. અનિલ ત્રીજા મળે ફ્લેટમાં વોટરપ્રૂફિંગનું કામ કરતો હતો. આ દરમિયાન છજા પરથી અનિલનો પગ લસરી જતા નીચે પડ્યો હતો.જેના કારણે અનિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી,જે બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બેદરકારી, 4 સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે બાંધકામ સાઈટ પર અવરોધક સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.બોડકદેવ પોલીસે બિલ્ડર વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ,લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોક્સો-અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે સગીરા સાથેના ગુનામાં મોરબીથી પકડ્યો
સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હેબિયસ કોર્પસની ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી છે. આરોપી અને સગીરાને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, થાનગઢ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11211050260051/2026, બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના હેબિયસ કોર્પસ, પોક્સો અને અપહરણના કેસનો આરોપી વિપુલભાઈ બીજલભાઈ સરવૈયા (ઉં.વ. 26, રહે. સરોડી તળાવ પાસે, તા. થાનગઢ) મોરબી ખાતેના ખોખરા હનુમાન, બેલા રંગપરા પાસે હાજર છે. બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી અને ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે તેમને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.
ધ્રાંગધ્રા સ્વદેશી મેળાને સારો પ્રતિસાદ:લોક માંગને પગલે એક દિવસ લંબાવાયો
ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરરોજ એક હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી, નગરપાલિકા દ્વારા મેળાને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળામાં કુલ 36 જેટલા વિવિધ સ્ટોલ ઉપલબ્ધ છે, જેમાં આયુર્વેદ, હસ્તકલા, ઓર્ગેનિક વસ્તુઓ, ખાદી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ તેમજ લાઇટ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળી શકે. પૂર્વ મંત્રીના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશને મહાસત્તા બનાવવા માટે વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને મજબૂત કરવા સૌએ સાથે મળીને સ્વદેશી અપનાવવું જોઈએ. આ મેળા દ્વારા નાના અને મોટા સ્વદેશી વેપારીઓને પ્રોત્સાહન આપીને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં મહિલા સંચાલિત સ્ટોલની સંખ્યા નોંધપાત્ર હતી, જે સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોર્સ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે સ્વદેશી અભિયાનમાં મહિલાઓ સક્રિયપણે જોડાઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ અને પાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મેળામાં મોટી સંખ્યામાં આગેવાનો, સુધરાઈ સભ્યો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં વતનની વાટ પકડી રહ્યાં છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુધ્ધની વધી રહેલી તણાવ ભરી સ્થિતિને કારણે જો કોઈ વસ્તુની સર્વાધિક અસર વર્તાઈ હોય તો તે રાંધણ ગેસની છે. હાલ વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે અને વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે અને ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે અને વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે રજૂઆત કરવામાં આવશે, રૂબરૂ રજૂઆત કરવામાં આવશે, લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે જો 50 થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે ગેસ છે જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે અને કામદારોનું પણ જીવન ટકી રહે, જીવનયાત્રા ચાલુ રહે અને કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે, વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.
અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાન અને ભીષણ ગરમીના કારણે માનવીઓ જ નહીં, પણ અબોલ પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજે 'આદિ ફાઉન્ડેશન' દ્વારા શહેરના વ્યસ્ત એવા રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં માટીના જલપાત્ર (કુંડા) વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 1000 થી વધુ કુંડાનું વિતરણઆ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર રહેલા શહેરીજનોએ આ પહેલને વધાવી લીધી હતી અને પોતપોતાના ઘરની છત, બાલ્કની કે આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે નિયમિત પાણી રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, ઉનાળાની પ્રચંડ ગરમીમાં પાણીના અભાવે અનેક પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ નાનકડો પ્રયાસ પણ અબોલ જીવોના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જીવદયા પ્રેમીઓ અને સભ્યોની ઉપસ્થિતિઆ સેવાકાર્યમાં આદિ ફાઉન્ડેશનની ટીમ સાથે અનેક જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ અને રવિ ચૌહાણ સહિત સંસ્થાના અન્ય અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી. સંસ્થાએ અંતમાં શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતાની આસપાસ પાણીના પાત્ર મૂકીને જીવદયાના આ કાર્યમાં સહભાગી બને અને સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવે.
મહેસાણાના રામોસણા ચોકડી પાસે ગત સાંજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 108 ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અકસ્માતગ્રસ્ત રિક્ષા ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે હોસ્પિટલ સત્તાધીશોને સોંપી ફરજનિષ્ઠા અદા કરી હતી. જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત મહેસાણાના રામોસણા ચોકડી પાસે પાર્ક કરેલા એક જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા ચાલક વિશાલકુમાર દશરથભાઈ રાવલને દાઢી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તને કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે તેને પરત અપાઈજિલ્લા અધિકારી હરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ઈજાગ્રસ્તના કોઈ સબંધી હાજર ન હોવાથી 108ની ટીમે નૈતિક જવાબદારી નિભાવી હતી. દર્દીની રિક્ષાની ચાવી, મોબાઈલ ફોન અને આધાર કાર્ડ જેવી તમામ કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે મેળવી લીધી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પાર્થ ને આ તમામ વસ્તુઓ વિધિવત રીતે સુપ્રત કરવામાં આવી હતી. 108ની ટીમની આ કામગીરી અને પ્રમાણિકતાને સ્થાનિકો તેમજ વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ કરી પ્રોસેસ કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતાં. સાઇબર ક્રાઇમે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતાઅમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે ચાંદખેડામાં આવેલા ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં આવેલા મકાનમાંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1.87 લાખનો મુદ્દામાલ જપ્તપકડાયેલા આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 હેડફોન, 1 કીબોર્ડ સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું જેનો વોઇસ કોલ કરવા માટે ઉપયોગ થતો હતો. લેપટોપ માંથી સ્ક્રિપ્ટ પણ મળી આવી હતી. એજન્સી ને બેંકના નકલી ઓફિસર બનીને છેતરતાંસ્ક્રિપ્ટમાં આરોપીઓ પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોનો ફોન કરી તેમનો વિશ્વાસ સંપાદન કરતા હતા. જે બાદ નાગરિકોના નામ, સરનામા, પોસ્ટલ કોડ સહિતની વિગત મેળવી લેતા હતાં. કેનેડિયનને ડરાવી ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતાંઆરોપીઓ નાગરિકોને જણાવતા હતા કે તેમના વિવિધ બેંકમાં અનેક TFSA એકાઉન્ટ ખુલ્લા છે અને કોઈ અજાણી વ્યક્તિ તેમના વ્યક્તિગત માહિતીનો દૂર ઉપયોગ કરી રહી છે. જે બાદ કેનેડિયન નાગરિકોને ડરાવી ઓનલાઈન પ્રોસેસના બહાને ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ચાર આરોપીની ધરપકડ, એક ફરારઆ પૈસા શિવાંગ નામના યુવકના ખાતામાં જતા હતાં. સાયબર ક્રાઈમે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી લેપટોપ,મોબાઈલ પણ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પાંચમો આરોપી શિવાંગ હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી પૌરાણિક દરબારી વાવના રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ ગયું છે. ટાવર ચોકના બગીચામાં આવેલી આ વાવના જીર્ણોદ્ધાર માટે રૂ. 33 લાખનો ખર્ચ કરવામાં આવશે અને આગામી ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ વાવને 'દરબારી વાવ' અથવા 'બોરસલ્લીની વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇડર સ્ટેટ વખતની આ વાવનું બાંધકામ ગુજરાતના સુબા અહેમદશાહના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, પંચાયત દ્વારા આ વાવમાં બોર કરીને તેના પાણીનો ઉપયોગ બગીચાના વૃક્ષોની જાળવણી માટે થતો હતો. જોકે, બોરમાં પાણી ન રહેતા તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો, જેના કારણે વાવ જર્જરિત થઈ ગઈ હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા આ રિસ્ટોરેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલમાં, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાવની ક્ષતિગ્રસ્ત પથ્થરની દીવાલોમાંથી પથ્થરો કાઢીને કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલે જણાવ્યું હતું કે, વાવના પુનરુદ્ધારનો મુખ્ય હેતુ હિંમતનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો તેમજ પાણીનો સંગ્રહ કરીને વાવને ફરી જીવંત કરવાનો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વાવની બહાર મુલાકાતીઓ માટે નાના બગીચા સાથે બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.
વાપીમાં 15 વર્ષીય કિશોર લાપતા:પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ
વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. આ મામલે કિશોરના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય પુત્ર 'મનોજ' (નામ બદલ્યું છે) ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ગત વર્ષે જ ધોરણ 9માં ભણવા માટે વાપી તેના માતા-પિતા પાસે આવ્યો હતો. ગત 12મી માર્ચના રોજ મનોજને કોઈ વાતનું મનદુઃખ થતાં તે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયો હતો. સાંજે જ્યારે તેના માતા-પિતા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પુત્ર ઘરે જોવા મળ્યો ન હતો. પરિવારજનોએ આજુબાજુમાં અને ગીતાનગર વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમણે સ્થાનિક અગ્રણીઓ અને યુવકોની મદદથી વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોએ પણ શોધખોળ કરી. કિશોર વતને ગયો હોવાની શંકાએ બિહારમાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં મનોજ મળ્યો ન હતો. અંતે, પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે મનોજના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી. વાપી ટાઉન પોલીસે ગીતાનગર વિસ્તારના CCTV ફૂટેજ મેળવ્યા છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રીક્ષા સ્ટેન્ડના CCTV ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી કિશોરના સગડ મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે.
ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં
ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપી એકથી વધુ વખત વેપારીની દુકાને આવી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો, તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં, ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
પંચમહાલ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ₹732.28 કરોડના કુલ 112 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં ખાસ કરીને પાણી પુરવઠા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિભાગવાર ફાળવણીની વિગતોમુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા 112 કામોમાં સૌથી વધુ 50 કામો પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના છે. પાનમ પ્રોજેક્ટ અને સ્થાનિક અસરોઆ કાર્યક્રમ દરમિયાન પાનમ પ્રોજેક્ટ અંતર્ગત ₹337.67 કરોડના કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોઆ વિકાસ પર્વમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, સાંસદ રાજપાલસિંહ જાદવ, જશુભાઈ રાઠવા અને ડૉ. જસવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો જેઠા ભરવાડ, સી.કે. રાઉલજી, નિમિષા સુથાર, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા સહિતના આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મહીસાગર SOGએ મોબાઈલ ચોર પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો
મહીસાગર SOG પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 26,000ની કિંમતના ચોરાયેલા OPPO મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. આ બાતમી મુજબ, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો OPPO કંપનીનો મોબાઈલ ફોન ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના બચકરીયા ગામે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતા જ, SOG પીએસઆઈ એ.એમ. બારીયા અને SOG સ્ટાફને ડીટવાસ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કરતા, છાયામહુડા ફળિયું, બચકરીયા ઉત્તર, તા. કડાણા, જી. મહીસાગરના રહેવાસી બાબુ કાળુભાઈ ડામોરને ચોરી થયેલા રૂ. 26,000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને ચોરીનો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે બાબતે કહેતા મહિલાઓ દ્વારા ચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયોમાં બે યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી છે. તેમજ એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. આ મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીના સંજય ચોક વિસ્તાર પાસે આવેલી ચાલીનો આ વિડિયો છે. જેમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં થયેલી બોલાચાલીમાં હથિયાર જેવું બતાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ચારથી પાંચ યુવતીઓ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા બાબતે બોલાચાલી થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટલના એક કેરેટના રૂ.60 થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે. રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લીટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લીટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે ઓકે પછી જગ્યાએ એક સરખી ખરાબ પરિસ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.
સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતાં. જોકે કાર્યક્રમ થશે તો કઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ'એ ગોડસેના વંશજને આમંત્રિત આપ્યુ'તુંસુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ' દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ભારત સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન' વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસ્વીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. 'ર્હોડિંગ્સ લગાવીને નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ'કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા ર્હોડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો હતો. કોંગ્રેસની ચીમકી, આયોજક દ્વારા કાર્યક્રમ રદ કરાયોવિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયોકાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો. 'ગાંધીના હત્યારાને ગુણગાન કરવા માટેનો કાર્યક્રમ હતો'કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. અને આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ. 'અમે પાણી નાખી દીધું, એમની હિંમતને અમે તોડી નાખી'ઉધનાવાલાએ કહ્યું હતું કે, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવા ન દીધી, એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલીય દેશોમાં એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલીય બુકો લખવામાં આવી છે. એવા મહાન આપણા રાષ્ટ્રપિતાની વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય, તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચાલવા દે, ભારતના લોકો નહીં ચાલવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમ રદ થયો છે.
ગોધરામાં સામાજિક કાર્યકર તોફિક મલેક અને તેમની ટીમ દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન નિઃશુલ્ક 'શહેરી' (વહેલી સવારનું ભોજન) ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ અને અન્ય જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સેવા માટે ગોધરાના સરદાર નગર ખંડ નજીક દરરોજ વહેલી સવારે દસથી વધુ યુવાનોની ટીમ એકત્ર થાય છે. આ ટીમ દ્વારા ગરમાગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા ટિફિન શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના પરિજનો, મુસાફરો અને આર્થિક રીતે નબળા પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવા દર રમઝાન માસમાં છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ આર્થિક ભાર તોફિક મલેક પોતે ઉઠાવે છે. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો આરામ કરતા હોય છે, ત્યારે આ યુવાનોની ટીમ સક્રિય હોય છે. તૈયાર થયેલા ટિફિનને સુવ્યવસ્થિત રીતે પેક કરીને વિવિધ વિસ્તારો અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ વહેલી સવારના ભોજનથી વંચિત ન રહે. કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના કરવામાં આવતી આ સેવા ગોધરા શહેરમાં પ્રશંસા મેળવી રહી છે. તોફિક મલેક અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિઠોડા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચા ગામના સંજયભાઈ બંસીલાલ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો. શનિવારે વહેલી સવારે 6:05 થી 6:15 કલાકના દસ મિનિટના ગાળામાં સંજયભાઈ લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનના PSO દ્વારા લોકઅપના દરવાજાને લોક ન મારવામાં આવ્યું હોવાનું અને મહિલા વાયરલેસ ઓપરેટરની બેદરકારી સામે આવી હતી. હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ મગનભાઈ હુડલાની ફરિયાદના આધારે, ફરાર આરોપી સંજયભાઈ બંસીલાલ ખરાડી, PSO હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડરના DYSP સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી ફરાર થયા બાદ સ્થાનિક પોલીસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ તેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગાવ તાલુકાના બલીચા ગામેથી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. નોંધાયેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી. યુવરાજ સિંહે પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયોઆમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. ભેળસેળની સચોટ માહિતી માટે દૂધને FSLમાં મોકલાયુંયુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. '350થી 400 લિટર શંકાસ્પદ જથ્થો ડેરીઓમાં ઠલવાય છે'આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યોઆ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને FSLના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો આ નમૂનામાં કેમિકલની હાજરી સાબિત થશે તો દૂધના માલિક દેવાભાઈ ભરવાડ તેમજ જે ડેરીમાં આ દૂધ જતું હતું તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. લોકોમાં પણ એવી માગ ઉઠી રહી છે કે, માત્ર એક ટેન્કર પકડીને સંતોષ માનવાને બદલે આખા નેટવર્કનું મૂળ શોધવામાં આવે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ અક્ષમ્ય અપરાધને રોકી શકાય.
હાલમાં જ્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. આ લેબોરેટરી તૈયાર થતા રાજકોટનાં ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમુના વડોદરા મોકલવા નહીં પડે અને અત્યારે બે-ત્રણ મહિને આવતા રિપોર્ટ બે-ત્રણ દિવસમાં મળી જશે. આ સાથે અહીં તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પણ કરવામાં આવશે. જેને લઈને ઇમરજન્સીમાં લોકોને સારવાર પણ મળી રહેશે. વર્તમાન વ્યવસ્થા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) ચકાસણી માટે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલવા પડે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થાય છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થવાથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પરંતુ નવું બિલ્ડિંગ કાર્યરત થયા બાદ રાજકોટમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ થશે. જેના પરિણામે દૂધ, ઘી, તેલ કે અન્ય ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને પકડવા માટેના રિપોર્ટ ગણતરીના દિવસોમાં જ મળી શકશે. આનાથી ભેળસેળિયા તત્વોની સામે ઝડપથી કાર્યવાહી કરી શકાશે. અને નાગરિકોને શુદ્ધ આહાર મળવાની ખાતરી થશે. આ બિલ્ડિંગના આયોજન અને સ્થાપત્યની વાત કરીએ તો, તેને કુલ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા બંનેનો સમન્વય જોવા મળશે. ગ્રાઉન્ડ ફ્લોર: સર્વગ્રાહી આરોગ્ય સેવાઓબિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને કટોકટીની તબીબી સેવાઓ કેન્દ્રિત કરવામાં આવી છે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ કરીને માતૃ-બાળ કલ્યાણ માટે B.F. કોર્નર, ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) રૂમ અને RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) રૂમની ફાળવણી કરવામાં આવી છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ વોર્ડ તેમજ શૌચાલયની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પેથોલોજી લેબ અને સેમ્પલ લેબ જેવી સુવિધાઓથી નિદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રથમ માળ: આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીબિલ્ડિંગનો પ્રથમ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષા વિભાગને સમર્પિત રહેશે. અહીં 3 અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે. આ લેબમાં હાઈ-ટેક સાધનો માટે ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, ડિસ્ટિલેશન રૂમ, ફ્યુમિંગ રૂમ, બેલેન્સ રૂમ અને કેમિકલ સ્ટોરની સુવિધા હશે. ફૂડ એનાલિસ્ટ માટે અલગ ચેમ્બર અને ડેટા મેનેજમેન્ટ માટે એડમિન વિસ્તારની જોગવાઈ છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ એક્ઝિબિશન રૂમ અને ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે, જ્યાં હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો અને નાગરિકોને ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે માહિતગાર કરી શકાશે. બીજો માળ: વોટર ટેસ્ટિંગ અને વહીવટી સુવિધાઓબિલ્ડિંગના બીજા માળે પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2 ખાસ વોટર ટેસ્ટિંગ રૂમ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં વિતરણ થતા પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે આ લેબ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. અશુદ્ધ પાણીથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે આધુનિક પદ્ધતિથી અહીં પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ ત્રણેય સુવિધાઓના નિર્માણ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 4,59,67,751 (GST સિવાય) નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, ચોમાસાના ત્રણ મહિના (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર) ને કાર્યકાળમાંથી બાકાત રાખવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વર્કઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવે તો અંદાજે દોઢ-બે વર્ષની અંદર રાજકોટનાં લોકોને આ સુવિધાનો લાભ મળતો થવાની શક્યતા છે. કોન્ટ્રાક્ટરો માટે પાત્રતાના ધોરણો આ કામ માટે માત્ર 'A' ક્લાસમાં નોંધાયેલા અનુભવી કોન્ટ્રાક્ટરો જ અરજી કરી શકશે. કોન્ટ્રાક્ટરોએ છેલ્લા સાત વર્ષમાં આ પ્રકારના કામનો ઓછામાં ઓછો 40 ટકા જેટલો અનુભવ ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, ટેન્ડર સાથે રૂ. 4,59,678 ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) અને રૂ. 7,500 ની ટેન્ડર ફી જમા કરાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરે કામના સ્થળે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવી પણ ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટમાં ફૂડ લેબોરેટરીની સાથે આરોગ્ય સુવિધા ભવનનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન્ય જનતા માટે પાયાની અને ઇમરજન્સી તબીબી સેવાઓ મળી રહેશે. અહીં તાત્કાલિક સારવાર માટે 3 ઇમરજન્સી બેડની વ્યવસ્થા હશે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીને સ્થિર કરવામાં મદદરૂપ થશે. અને 2 કન્સલ્ટેશન રૂમ, દવા વિતરણ કેન્દ્ર, મેડિકલ સ્ટોર અને રજીસ્ટ્રેશન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ હશે. એટલું જ નહીં વિવિધ પ્રકારના રસીકરણ પણ અહીં કરવામાં આવશે.
કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.
બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન
બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. શાળા પરિવારે શ્રી યોગ ફાઉન્ડેશનના પ્રમુખ નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિ:શુલ્ક યોગ શિબિરથી બાળકોમાં પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો હતો અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી. શાળાના આચાર્ય મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં
Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ડૂબાડવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ હવે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'બાબ અલ-મંડેબ' (Bab al-Mandab) ને બ્લોક કરવાની ધમકી આપી છે. શું છે ઈરાનની 'ત્રણ તબક્કાની રણનીતિ'? પ્રથમ તબક્કો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવો (જે પહેલાથી જ પ્રભાવિત છે).
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલેજથી પરત ફરી વખતે અકસ્માત થયો'તોમળતી વિગત અનુસાર, 37 વર્ષીય શાહ-નવાઝ ઉર્ફે આસિફ મોહમદ રફીકમીયા શેખને એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના અવસાનને કારણે થયેલા અપૂરણીય નુકસાન અને દુઃખ માટે યોગ્ય વળતર મેળવવા માટે તેમની કાનૂની વારસદારો પત્ની, ચાર સંતાનો અને માતા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત 19 જુલાઈ, 2024ના રોજ રાત્રે થયો હતો. શાહ-નવાઝ તેમના મિત્ર તૌફીક વ્હોરા સાથે આણંદ-ભાલેજથી કામ પરથી પરત ફરી રહ્યા હતાં. શાહ-નવાઝ પોતાનું ટુ વ્હિલર સુઝુકી બર્ગમેન ચલાવી રહ્યા હતાં. તેઓ નડિયાદ નજીક દુમરાલ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે પક્ષ દ્વારા ચલાવવામાં આવતી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયુંતેમને તરત જ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈનડોર પેશન્ટ તરીકે ઈજાઓને કારણે મોત થયું હતું. આ અકસ્માત અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યોમૃતકના કાનૂની વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ 1 કરોડ રૂપિયાના વળતર માટે જિલ્લા અને સત્ર ન્યાયાલય, અમદાવાદ ગ્રામ્ય ખાતે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા, તમામ પક્ષકારો, વીમા કંપનીના પ્રતિનિધિઓનો સક્રિય સહકાર મળતા 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત દરમિયાન આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન દ્વારા નિવારવામાં આવ્યો હતો. કોર્ટે દાવો ફેંસલ કરીને 63 લાખ ચૂકવવા આદેશ કર્યોપારસ્પરિક ચર્ચા અને વિચારવિમર્શ બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મૃતકના કાનૂની વારસદારોને 63 લાખની રકમ ચૂકવવા સંમતિ અપાતા, અધિક જિલ્લા ન્યાયાધીશ એન.પી. ઉનડકટની કોર્ટમાં આ દાવો ફેંસલ કરવામાં આવ્યો. આ રકમ નક્કી કરતી વખતે મૃતકની ઉંમર, 40 હજાર રૂપિયાની માસિક આવક, પરિવારની નિર્ભરતા અને તેમના ભવિષ્યના સંભવિત આવક જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસને રોકવામાં આવી હતી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેની બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા (ઉંમર 29) છે, જે મુંબઈના ગોરેગામનો રહેવાસી અને મૂળ કચ્છના મુન્દ્રાનો છે. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલિંગ બેગમાંથી કપડાં અને જેકેટની આડશમાં છુપાવેલું 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ ચરસની બજાર કિંમત ₹2,00,250 આંકવામાં આવી છે. ચરસ ઉપરાંત, એક એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ ₹2,10,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કારચાલકે યુવકને ટક્કર મારતા યુવક બાઈક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ હૃદયદ્રાવક અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કાર હંકારી બાઈક સવારને ટક્કર મારીવડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે એક બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે બાઈકચાલક બાઈક પરથી નીચે પટકાયો હતો. જેને કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો અને રોડ પર જ કણસવા લાગ્યો હતો. યુવક નીચે પટકાયો હતો, પરંતુ બાઈક દોડતી દોડતી દૂર જઈને પડી હતી. કારચાલક ઉભો રહી મદદ કરવાની જગ્યાએ કાર લઈ નાસી છૂટ્યોસ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટીયરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાને પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીવડોદરાના છાણી રોડ પર બનેલી અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે, તેમ છતાં વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. સાથે સાથે લોકો પણ આ પ્રકારે બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો' અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનારા કારચાલક જાદવ હરિસિંહ સુરસંગને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા જાદવ હરિસિંહ સુરસંગે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો. આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ નિર્દેશ હેઠળ પુરવઠા વિભાગે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ સુંદરગઢ અને નવા ગામ પાસે તસ્કરોએ બે ગલ્લા અને બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સરસામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારના સમયે સુંદરગઢ પાટિયા પાસે ગાયત્રી આશ્રમ નજીક બાબુભાઈ વાલાભાઈ મકવાણાના પાન મસાલાના ગલ્લાને તોડી તસ્કરો પાન મસાલાનો સામાન અને રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ પૂર્વ સરપંચ ચંદનસિંહના લક્ષ્મી પાન પાર્લરના ગલ્લામાંથી પણ સરસામાન અને રોકડની ચોરી થઈ હતી. ત્યારબાદ, લક્ષ્મી પાન પાર્લરની સામે આવેલ એક કોમ્પ્લેક્સમાં જયદેવ કિરાણા સ્ટોર્સ અને તેની બાજુમાં આવેલ બિલેશ્વર એગ્રો ટ્રેડર્સ (ખેતીની દવાની દુકાન)ના શટર તોડીને પણ ચોરી કરવામાં આવી હતી. જયદેવ કિરાણા સ્ટોર્સના માલિક સુનીલભાઈ મોતીલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તસ્કરો શટર તોડીને અંદરથી કરિયાણાનો સામાન જેમ કે તેલ, ખાંડ, ઘી, ડ્રાયફ્રુટના પેકેટ સહિતનો સામાન અને આશરે ₹20 રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ રાઘવ દાલબાટીના સીસીટીવી કેમેરામાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક એસેન્ટ કાર અને એક બાઈક પસાર થતું જોવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના ઓછા ભાવે વેચાણના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન એક યુવકને ચાકુથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજી ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતીગત સાંજે શહેરના મકરપુરા GIDC પાસે ભૂમિ ચોકડી ખાતે એક ઘટના બની હતી. મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. ટેમ્પો બંધ પડતા તેમણે રોડની બાજુમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીક જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં આવ્યા અને ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. કમર, ગળા અને ડાબી આંખ પાસે ચાકુના ઘા માર્યાત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ સામેલ થયો હતો. બાદમાં સામાન્ય બોલાચાલી બાદ વાત ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢીને મુકીમને કમર, ગળા અને ડાબી આંખ પાસે ઘા કર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મુકીમને એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન તેમજ શાહિદ સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે કોલર પકડીને ગાળાગાળી અને મારામારીની ફરિયાદ કરીબીજી તરફ ઇમરાન તસીરખાને પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર મુકીમ તેમની બાજુમાં ટેમ્પો રાખીને ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. તેમને ટેમ્પો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે તેમ ન કર્યું કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ મુકીમે કોલર પકડીને ગાળાગાળી કરી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝપાઝપીમાં ઇમરાન, મોહમ્મદ સાબાન અને સાહિબે આલમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ પણ 108 એમ્બ્યુલન્સ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ ઘટના અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત સાંજે સર્જાયેલ આ મારામારીમાં પણ ઘાતક હથિયાર ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો યુવકને છાતીના કે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો કદાચ જીવલેણ સાબિત થઈ હોત. ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ફરી નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી.ગોઝારિયાના નિર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠીમોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ કંપનીમાં રહેલા લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 10 હજાર લિટર પાણીનો મારો ને 5 કલાકની મહામહેનતે આગ કાબુમા આવીફાયર વિભાગની ટીમે સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આશરે 10 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આખરે સવારે 7 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જેના કારણે તંત્ર અને કંપની માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગને કારણે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આવતીકાલે, 16 માર્ચના રોજ જન્મદિવસ છે. આ અવસરને વધાવવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરીથી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યાસુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી થોડા સમયમાં જાહેર થશે અને તે પહેલા સી આર પાટીલનો જન્મદિવસ હોવાને કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો સીઆર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને પોતાને ફરીથી ટિકિટ મળે તેની લાલચે સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. આવતીકાલે દિલ્હી જવાના હોવાથી આજે જ શુભેચ્છાઓનો વરસાદસામાન્ય રીતે રાજકીય નેતાઓના જન્મદિવસે મોટા પાયે આયોજનો થતા હોય છે, પરંતુ આ વખતે 16 માર્ચના રોજ દિલ્હી ખાતે સંસદનું સત્ર ચાલુ હોવાથી સી.આર. પાટીલ આવતીકાલે દિલ્હીમાં વ્યસ્ત રહેવાના છે. આ કારણોસર તેઓ આવતીકાલે પોતાના મતવિસ્તાર અથવા સુરત ખાતે હાજર રહી શકે તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યભરના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રશંસકો આજે જ મોટી સંખ્યામાં તેમને રૂબરૂ મળીને જન્મદિવસની અગાઉથી શુભકામનાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ તેમના નિવાસસ્થાન પર ફૂલહાર અને બુકે સાથે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે- પાટીલસી.આર. પાટીલે હંમેશા પેજ સમિતિ અને મજબૂત સંગઠન સાથે છેવાડાના માનવી સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે. આ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોને એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારના ભવ્ય આયોજનો, હોર્ડિંગ્સ કે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવાને બદલે, આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે. બ્લડ ડોનેશન કેમ્પ, અનાજની કિટનું વિતરણ જેમાં ઠેર-ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવી.જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવું અથવા ભોજન કરાવવું. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણની જાળવણી કરવી. તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવું જોઈએ. સી.આર. પાટીલ ભારતની લોકસભામાં સૌથી વધુ લીડથી જીતનાર સાંસદોમાં સ્થાન ધરાવે છે. તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને આધુનિક બનાવ્યું છે અને ડિજિટલ ડેટાબેઝ દ્વારા કાર્યકરોને સીધા નેતૃત્વ સાથે જોડ્યા છે.
પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યાગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓજુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. 2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોઆ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતાં. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયોરાજ્યમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાન ધીમે ધીમે વધતું જાય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત રહી શકે છે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીમાં રાહત મળશેહવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશામાં ફેરફાર થશે. જેના પરિણામે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી નાગરિકોને રાહત મળશે. 18થી 20 માર્ચ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તેમજ માર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટો આવતા નાગરિકો માટે ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂં, ચણા સહિતના પાકને કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારીના પૌરાણિક ઉનાઈ માતાજીના મંદિરે દર્શન અને આરતી કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓમાં પક્ષના વિજય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આદિજાતિ મંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસે છે. તેમણે બે દિવસ અગાઉ વલસાડ અને ત્યારબાદ ડાંગ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. ડાંગમાં વિધાનસભાના બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યા બાદ, તેઓ મોડી સાંજે નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા. નવસારીમાં તેમણે રામાયણ કાળ સાથે સંકળાયેલા ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે માં ઉષ્ણ અંબાની આરતી કરી આગામી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ આદિવાસી પટ્ટામાં ભાજપનો ગઢ મજબૂત કરવાના નિર્ધાર સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. મંદિરે દર્શન કર્યા બાદ જગદીશ વિશ્વકર્માએ મંદિર નજીક આવેલી સ્થાનિક ચાની દુકાને કાર્યકર્તાઓ સાથે બેસીને ચા પીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યકરો સાથે સ્થાનિક પ્રશ્નો અને આગામી ચૂંટણી રણનીતિ અંગે અનૌપચારિક ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા, જેનાથી સ્થાનિક કેડરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયો હતો. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી દેવાયું હતું. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજા થઈ હતી અને ઘરવખરી તેમજ વાહનને નુકસાન થયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે, વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવાના બહાને ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ એમ કુલ સાત વ્યક્તિઓ જયંતીભાઈના ઘરે આવ્યા હતા. જયંતીભાઈ અને તેમના પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે હુમલાખોરોએ યુવતીના ભાગી જવા અંગે કોઈ વાતચીત કરી ન હતી. તેના બદલે, તેઓએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને તેમના પુત્ર મીત દિનેશ પટેલને સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે સૌને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જયંતીભાઈ પટેલના ઘરમાં વોશિંગ મશીન, બારીના કાચ, બહાર પડેલી ઈકો ગાડી અને ઘરમાં રહેલા ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડીને ઘોડિયું તોડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન નિલેશ પટેલનો સોનાનો દોરો અને તેમની પત્નીનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, જે બાદમાં મળ્યું ન હતું. ઘટના બાદ 112 નંબર પર જાણ કરવામાં આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્માની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ પટેલની ફરિયાદના આધારે અમરત પટેલ, સાહિલ અમરત પટેલ, તીર્થ પટેલ, ધાર્મિક પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) અને બકાભાઈ પટેલ, સાવન પટેલ, આનંદ પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ SOGએ કોઈપણ જાતની મેડિકલની ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બેડલા ગામમાં 45 વર્ષીય ભાવેશ જોશી નામનો યુવાન ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ગ્રાહક બની રેડ પડી હતી અને તેને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન કબજે કર્યા છે. બોગસ ડોક્ટર છેલ્લા 6 મહિનાથી તબીબી પ્રેક્ટિસ કરી લોકોને આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને પોતે કોલેજ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં દવાખાનું ખોલી નાખ્યું હતું. ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યુંSOG પોલીસને 14 માર્ચના બેડલા ગામે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ ત્યાં પહોંચી તો બેડલા ગામના રામજી મંદિર પાસે દવાખાનું હતું. જે તબીબ ભાવેશ જોશીનું હોવાનું જણાયું હતું. જેથી તેની પાસેથી મેડિકલ ડિગ્રી માંગવામાં આવી હતી. જો કે, મેડિકલની કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસની વધુ પૂછપરછમાં તે રાજકોટના મવડી મેઇન રોડ ઉપર રહેતો હોવાનું અને અહીં મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે તેની પાસેથી હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન વગેરે તથા રોકડા રૂ.4500 મળી કુલ કિંમત રૂ.50,199નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની વિરુદ્ધ ગૂનો દાખલ કરી ધરપકડ કરી હતી.
જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. SOG પી.આઈ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. 2511 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મીલટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ. 2538 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બંને શખ્સો લાયકાત વગર દર્દીઓને તપાસતા, ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) અને મીલટન રતનભાઈ બિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા B.N.S. કલમ 125 મુજબ એ.એસ.આઈ. અશોકભાઈ સિંહલાએ ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં SOG ના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે બનાવટી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રાણાભાઈ જેસાભાઈ સુસરા અને રાજુભાઈ જસાભાઈ આલના રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવતા બનાવટી દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કામગીરી ખાંભા પીઆઈ કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાંભા પંથકના ગામડાઓમાં બનાવટી દૂધ બનાવવાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. અગાઉ પણ અહીંની ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે અને પોલીસે ભૂતકાળમાં પણ દરોડા પાડ્યા છે. ફરીવાર આ નકલી દૂધ પર અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં દૂધના વેપારની વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાની કેટલીક જાણીતી ડેરીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.
અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. NRI યુવકને માર મારવાથી લઈને સોસાયટીઓના રોડના કામ અટકાવવા સુધીના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આંતરિક વિખવાદ નહીં શમે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે. ડો. હસમુખ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કર્યોચૂંટણીમાં જીત માટે ટક્કરવાળી તેમજ કોંગ્રેસના વોટબેંકવાળી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના વિવાદો અને તેમની કાર્યશૈલીથી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મુદિદે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારીનું ઘટનાથી અજાણ હોવાનું નિવેદનઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના પ્રભારી હેમંત મગરેનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરી આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું આ ગ્રુપમાં નથી મને આ સ્ક્રીનશોટ વાઇરલ થયા છે તે અંગે કોઈ જાણ નથી. આપણે આ બધી રૂબરૂમાં મળીને ચર્ચા કરીશું એમ કહી અને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડના પ્રભારી હાર્દિક રાવલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી કોઈ બાબત આવી નથી. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના 'Team BJP Amraiwadi' નામથી ચાલતાં વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓની નારાજગી અંગેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે... અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓને કોઇ સાંભળવા માટે રાજી છે જ નહીં. જો તમે સામે બોલો, સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે છે. સિનિયર કાર્યકર્તા પ્રશ્નની ચર્ચા પ્રભારી સાથે કરે છે અને ચર્ચાનો નિકાલ નથી આવતો.સિનિયર કાર્યકર્તાનુ નિવેદન એ છે કે પ્રભારી તેમની વાત સાંભળતા નથી. ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબધ્ધ પાર્ટી છે તો સંગઠનમાં સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને પ્રભારી અવગણી દે તે વ્યાજબી કહેવાય ખરું?, અન્ય કાર્યકર્તાઓને પણ જાણ થવી જ જોઈએ કે સત્ય શું છે? સત્યની તપાસ થવી જ જોઈએ. આ આખા વિષયમાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને અવગણવામાં પ્રભારીને શું રસ હોઈ શકે?, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી, પૂર્વ પ્રમુખ - મહામંત્રી, વરિષ્ઠ કાર્યકર્તા શકે અન્ય કાર્યકર્તા જેવા કોઈપણ આગેવાનને સમજ પડે તો અમને સમજાવવા વિનંતી છે. 'મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું'કાર્યકર્તાઓએ રોષ ઠાલવતાં લખ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોય તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોય. નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવાની આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...?, સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા કાર્યકર્તા નથી બન્યા. મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું. લોકસેવામાં હાજર રહેવું પડે, લોકોને મળવું પડે, લોકોની સમસ્યા ગંભીરતાથી લઇને એનું સમાધાન કરવું પડે. 'કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું'અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે, ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈપણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે, આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે, આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો. એસી કારમાં રહેનારા તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજેભાજપના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈએ ગ્રુપમાં લખ્યું હતું કે, આજરોજ મેં ઇન્દ્રપુરી વોર્ડના કાર્યકર્તાઓ વિશે પ્રભારીને ચર્ચા કરતા ચર્ચાનો કોઇ નિકાલ ના કર્યોને પ્રભારીએ કોઈ સારી રીતે જવાબ મને આપ્યો નથી. પ્રભારી કોઈની વાત સાંભળતા નથી તો પ્રભારીને મારી વિનંતી છે કે વોર્ડની અંદર જે પ્રોબ્લેમ હોય તેનો ઉકેલ લાવો અને સિનિયર કાર્યકર્તાઓનું કોઇપણ અપમાન કરે તે ચલાવી લેવાના નથી. સત્યની તપાસ કરો અને સાચું કહો કોઇપણ કાર્યકર્તાઓનું સન્માન ધવાય તે ચલાવી લેવામાં નહિ આવે. ગ્રુપમાં મહિલા કાર્યકર્તાઓએ પણ બળાપો કાઢતા કહ્યું હતું કે, બે મહીનાની આવેલાને હોદ્દા ઉપર બેસાડી દે છે અને વર્ષોની મજૂરી કોઈને દેખાતી નથી. એસી ઓફિસ અને એસી કારમાં રહેનારા આ તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજે છે. જુગાર-દારૂના અડ્ડા બંધ કરાવવાની અનેક રજૂઆતોનું નિરાકરણ નહીંઅમરાઈવાડી વિધાનસભામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે પણ ભાજપના ધારાસભ્યને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ અવારનવાર ચર્ચા કરી હોય તેવી ચર્ચા પણ ગ્રુપમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દેશી અને ઇંગલિશ દારૂના અડ્ડાઓના લિસ્ટનો ફોટો પણ કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે, આ ધંધાઓ ચાલે છે જે અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. NRIને માર માર્યો હોવાની ઘટનાને લઈને પણ હસમુખ પટેલ વિવાદમાંઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં જ એક NRI યુવકને એક સામાન્ય અકસ્માત બાબતે કોઈ તેમના ઓળખીતા સાથે બોલાચાલી થઈ હતી. એ બોલાચાલી બાબતે NRI યુવકને બોલાવીને તેમની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સમાધાન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી. ધારાસભ્ય હોવાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાની ચર્ચા પણ જાગી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ મોટાભાગના કાર્યકર્તાઓ નારાજભાજપના આંતરિક સૂત્રોમાં ચર્ચા જાગી છે કે, ભાજપના નેતા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈની જગ્યામાં તેમના માણસોને બેસવા માટે એક કન્ટેનર મૂકવામાં આવેલું હતું. તે કન્ટેનરને પણ ધારાસભ્ય ડો. હસમુખ પટેલ દ્વારા હટાવવાવામાં આવ્યું છે. તેમજ ઉનાળામાં પાણીની પરબ બનાવવામાં આવી છે જેમાં એક છાપરું બનાવવામાં આવ્યું હતું જે પણ તોડાવી નાખવામાં આવ્યું હોવા અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં ધર્મેન્દ્ર પટેલ અને ધારાસભ્ય વચ્ચે આંતરિક વિખવાદ થયો છે. અમરાઈવાડી વિધાનસભાના કેટલાક કાર્યકર્તાઓથી લઈને નેતાઓ પણ હવે ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય ટિકિટ અપાવી દેશે જેની લાલચ રાખીને તેમના પક્ષમાં બોલી રહ્યા છે, પરંતુ મોટાભાગના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ અણબનાવને લઈ વિવાદમાંતાજેતરમાં જ બીજો એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં ભાજપના યુવા કાર્યકર્તાની સોસાયટીમાં બજેટમાં આપવામાં આવેલા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહોતું. અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડમાં સુરેલીયા એસ્ટેટ પાસે આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ રહેલા અણબનાવને લઈને સોસાયટીના રોડનું કામ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જે સોસાયટીના ચેરમેન પણ છે તેમના કારણે ખાતમુહૂર્ત કર્યું નહીં અને સોસાયટીના રોડનું કામ પણ અટકાવી દીધું હતું. સોસાયટીના ચેરમેનને લેટરપેડ લઈને આવવા માટે ધારાસભ્યએ કહ્યું છે ત્યારબાદ જ કામ ચાલુ થશે. અમરાઈવાડીમાં આવેલા એક એસ્ટેટનો મુદ્દો પણ ખૂબ ગાજ્યો હતોવર્ષો જુના એસ્ટેટમાં કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં રોડ કપાત આવતો હતો જેથી ઘણા બધા એસ્ટેટના શેડ તૂટતા હતા. જેને લઈને એસ્ટેટના વેપારીઓ દ્વારા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યને વાત કરી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં અને એસ્ટેટની જગ્યાને બચાવવાની જગ્યાએ તોડવાની વાત કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી સુધી વેપારીઓએ રજૂઆત કરવી પડી હતી અને ત્યારબાદ તોડવાની બાબતને મોકો રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પણ ધારાસભ્યનો જ હાથ હોવાની ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે. તેમ છતાં પણ ભાજપના મોવડી મંડળ દ્વારા આ બાબતે કોઈ નોંધ લઈ વિવાદ શાંત કરવામાં આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ તેમના વિવાદ વિશે તેમને અનેક વખત પૂછ્યું છે, પરંતુ શા માટે આ પ્રકારે ભાજપના ધારાસભ્યના વિવાદને ભાજપના જ પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ અને પ્રભારી છાવરી રહ્યા છે તે અંગે ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ AMC દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ પોતે ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો છે. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકો અને હેરિટેજ વિસ્તારને જાળવવા માટે ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગના ચેરમેન દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભદ્ર પરિસર મુદ્દે ઢીલુ મૂકી દેવાતાં છેવટે ભદ્ર પરિસર ધમધમતું થયું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ AMCએ કમિટીની રચના કરી નહીંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. જોકે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થયુંલાલ દરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો છે. ત્યારે 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. સર્ટિફિકેટની ચકાસણી પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કર્યો હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC દ્વારા ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓને આપેલાં સર્ટિફિકેટની ચકાસણી કરીને ભદ્ર પરિસરમાં બેસવા દેવા માટેની પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તે પહેલાં જ ફેરિયાઓએ ભદ્ર વિસ્તારમાં પાથરણાં પાથરીને ધંધો કરવાનું શરૂ કરી દેવાને કારણે ભારે ભીડ જોવા મળી હતી. ગેરકાયદે બેસતાં ફેરિયાઓ પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી નહીં!એક પણ ફેરિયાઓની પાસે કયા સંસ્થાના ફેરિયાઓ છે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ એક જ લાઈનમાં અને પટ્ટા દોરી અને સરખી રીતે બેસવાનું હોવા છતાં પણ ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ બેસી ગયા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો અને કબજો જમાવનારા લોકો સામે કાર્યવાહીની સૂચના છતાં પણ કોર્પોરેશનને કોઈ કાર્યવાહી કરી નહીં. ફરી ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતાસૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશને પગલે ઘણાં સમય પછી ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવામાં આવશે. પરંતુ AMC રેકર્ડ પર નોંધાયેલા ફેરિયા- પાથરણાંવાળાઓની સરખામણીએ મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓનો રાફડો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા AMC દ્વારા ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને દૂર કરવા માટે દબાણની ગાડીઓ અને સ્ટાફને ખડે પગે રાખવા અને મશીનરીને કામે લગાડવાની કામગીરી કરાઈ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોમાં સફળતા મેળવનારા લીગલ કમિટી અને એસ્ટેટ વિભાગના બંને ચેરમેનો ભદ્ર પરિસરના મુદ્દે નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવાયું છે કે વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ નાના-મોટા તમામ વાહનોને વેરાવળ બંદર રોડ પરથી જ પસાર થવું પડે છે. પરિણામે આ રસ્તા પર વાહનવ્યવહાર ખૂબ વધી ગયો છે અને દિવસભર ભારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં માછલી ભરેલા વાહનો પસાર થાય છે. ઘણા વાહનોમાંથી માછલીનું પાણી અને કચરો રોડ પર પડી રહે છે, જેના કારણે રસ્તો ખૂબ જ ચીકણો બની જાય છે. પરિણામે ઘણી વખત બે-ચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત બંદર રોડ પર રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારું છવાઈ જાય છે. અંધારાના કારણે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી જાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બંદર વિસ્તારમાંથી દરરોજ જવલા (માછલી) ભરેલી ખુલ્લી રીક્ષાઓ પસાર થાય છે. આ રીક્ષાઓમાંથી પડતા માછલીના પાણીના કારણે રસ્તો વધુ ચીકણો બની જાય છે અને રોજબરોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે સાથે સરકારે જવલા માછલી મારવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ તેનો વેપાર ચાલુ હોવાની શંકા વ્યક્ત કરી તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ જનહિતને ધ્યાનમાં રાખીને બંદર રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા, રોડ પર પડતા માછલીના કચરાની નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી જરૂરી ટ્રાફિક સલામતીના પગલાં લેવા બંદર તંત્રને માંગ કરી છે.
ઈરાનનો એક પ્લાન અમેરિકાની બાદશાહત ખતમ કરશે! સ્ટ્રેટ ઓફ હોર્મૂઝની સમસ્યા ઉકેલાઈ જશે
Iran conditions oil tanker passage on Chinese Yuan : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને એક નવો અને ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી ઓઈલ ટેન્કરો પસાર થવા દેવા માટે ઈરાને એક કડક શરત રાખી છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફાર લાવી શકે છે. ઈરાનનો 'યુઆન' પ્લાન સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી મર્યાદિત સંખ્યામાં ઓઈલ ટેન્કરોને પસાર થવા દેવા પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તેની શરત એ છે કે તેલનો વેપાર ચીની યુઆન (Yuan) માં થવો જોઈએ. સામાન્ય રીતે વૈશ્વિક તેલનો વેપાર અમેરિકન ડોલરમાં થાય છે, પરંતુ ઈરાન હવે ડોલરના વર્ચસ્વને પડકારીને ચીની કરન્સીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ઝાયડસ હોસ્પિટલમાં ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનિયર સિટીઝન નીલગીરી સોલા ગ્રુપ માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ સભ્યોએ નોંધણી કરાવી હતી અને ભાગ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા 'હેલ્થ ટોક' યોજવામાં આવી હતી, જેમાં સભ્યોના પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે પેટના રોગ, હૃદય રોગ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા વિષયો પર વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. ધૈવત વૈષ્ણવ, ડો. કેતન વેકરિયા અને ડો. રાજ પટેલ જેવા નિષ્ણાત ડોકટરોએ ઉપસ્થિત સભ્યોને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન નીલગીરી ગ્રુપના પ્રેસિડેન્ટ દશરથભાઈ અને રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન ચોકસીનું પણ અતિથિ વિશેષ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે હેલ્થ ટોકમાં ભાગ લીધો હતો.
વેરાવળમાં PC-PNDT એક્ટ પર વર્કશોપ યોજાયો:માતા મરણ અને જાતિ પરીક્ષણ રોકવા કાયદાની સમજ અપાઈ
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત એક ઓરિયેન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રૉયે 'માતા મરણ' અને કાયદાની અગત્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આજના ટેક્નોલોજીના યુગમાં ફાયદાઓ સાથે કેટલાક દુષ્પરિણામો પણ જોવા મળે છે, ત્યારે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું અમલીકરણ ગીર સોમનાથ જિલ્લામાં સહિયારા પ્રયાસોથી થાય તે દિશામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. નોડલ એ.બી. ચૌધરીએ નોંધાયેલી તમામ સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને ડિલિવરી રજિસ્ટ્રેશન નિભાવીને માતા મરણ અટકાવવા પર ભાર મૂક્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી અને આરોગ્યલક્ષી સ્કેનર મશીન સહિતના ઉત્પાદકોને પણ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ લાગુ પડે છે તેમ જણાવ્યું હતું. તેમણે તપાસ દરમિયાનની ક્ષતિઓના નિવારણ, હોસ્પિટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન-રિન્યૂઅલ સહિત એક્ટની વિવિધ કલમો અંગે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. દુમાતરે વધુમાં ફોર્મ-એફ માં રાખવાની થતી તકેદારી, હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીનના યુઝર ડોક્ટર ઉમેરવા અંગેની અરજી, નવું સોનોગ્રાફી મશીન ખરીદ કરવા અંગેની અરજી અને સોનોગ્રાફી ઇમેજિંગ મશીન ઇન્સ્ટોલ થયા બાદ મશીનની વિગતો ફોર્મ-બી માં ઉમેરવા માટેની પ્રક્રિયા સમજાવી હતી. ડૉ. પુનિત રાખોલિયા અને ડૉ. દોમડિયા સહિતના અન્ય ડોકટરોએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ઉપયોગ અને સોશિયલ મીડિયાની સામાજિક અસરોને સાંકળીને પોતાના પ્રતિભાવો અને વિચારો રજૂ કર્યા હતા. ક્વોલિટી મેડિકલ ઈન્શ્યોરન્સ ઓફિસર શ્રી એચ. કણસાગરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ધ્યેય નવા રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સ અને ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જાણકારી આપવાનો છે, જેથી ભવિષ્યમાં કાયદાકીય કાળજી રાખી શકાય.પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કિંદરખેડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નું જિલ્લાનું માળખું, નિયમોનુસાર પ્રક્રિયા, સેક્સ રેશિયો અને કુલ રજિસ્ટ્રેશન્સ સહિતની વિગતો વર્ણવી હતી. ઉપસ્થિત સર્વેએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેના શપથ લીધા હતા.આ વર્કશોપમાં ઉના સિવિલ સુપરિટેન્ડન્ટ મિશ્રા, વેરાવળ સહિત જિલ્લાના પ્રેક્ટીશનર્સ અને પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલા ડોકટરો, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા
દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાદરગઢ ગામે રહેતા એક વ્યક્તિ પર ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દાઠા પોલીસ સ્ટેશનમાં હરીશકુમાર મનુભાઈ પરમાર રહે પાદરગઢએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામકાજ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમુક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ વાળું પાણી કરી થોડા સમય બાદ ઘરેથી બહાર પાન-માવો લેવા માટે નીકળ્યા હતા. તે સમયે રઘુ ગીગાભાઈ ભમ્મર, દાદુ કાદુભાઈ કામળિયા, ભીમા હમીરભાઈ કામળિયા તથા એક અજાણ્યો શખ્સ એક સંપ થઈ અને એકબીજાની મદદગારી કરી હરીશભાઈ પરમાર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત હરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઘોઘા તાલુકાના સણોદર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસણખોરી અને બાદમાં થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા પુરુષના અવાજની શંકા થતાં પરિવારજનો જાગી જતા રૂમમાંથી એક યુવક ઝડપાઈ જતા મામલો બગડ્યો હતો અને બાદમાં બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકાથી હુમલો થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના સણોદર ગામે રહેતા એક ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પરિવારના સભ્યો અલગ અલગ રૂમમાં સુવા ગયા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ફરિયાદી પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેમના ભાભી એકલા સુતા હોય તે રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાતા તેમને શંકા ઉપજી હતી. જેથી ફરિયાદીએ પરિવારજનોને જગાડી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા થોડા પ્રયત્નો બાદ દરવાજો ખૂલ્યો હતો. દરવાજો ખુલતા રૂમની અંદર ફરિયાદીના ભાભી સાથે ગામમાં રહેતો અજય ઘુઘાભાઈ હળવદિયા હાજર હોવાનું જણાયું હતું. પરિવારજનોને જોઈ અજય ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. તેને પકડવા માટે રાડુ દેકારા થતા અજયના સંબંધીઓ રાહુલ હળવદિયા, અનિલ હળવદિયા, સુનિલ હળવદિયા અને વિજય ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન વિજય અને રાહુલે ફરિયાદી તથા તેના પરિવારજનોને ધક્કા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ભૂંડા બોલી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીના અન્ય કુટુંબી ભાઈઓ પણ સ્થળે આવી જતા બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સાથે જ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. તમે કંઈ નહીં કરી શકો, અમારું કાંઈ બગડશે નહીંઆ સમગ્ર ઘટના બન્યા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓના સગા-સંબંધીઓ સહિતના લોકોએ એક જ ગામમાં રહેતા હોવાથી તમે અમારું કંઈ કરી શકશો નહીં અને અમારું કંઈ બગડવાનું પણ નથી તેવી ધમકીઓ આપતા ફરિયાદી ભયભીત બન્યા હતા. જેના પગલે ફરિયાદીએ આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવી પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
છોટે કાશીમાં અસુવિધા:સિહોર તાલુકો, 78 ગામ છતાં સીધી ઉપડતી એકપણ ST નહીં
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ઔદ્યોગિક વિકાસ સાથે અગ્રિમ ગણાતા સિહોરમાં આજે કેટલીક મૂળભૂત પાયાની સવલતનો અભાવ જોવા મળે છે. સિહોરનો સ્ટીલ રી-રોલિંગ મિલનો ઉદ્યોગ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો સુધી જોડાયેલો છે. સિહોર ઔદ્યોગિક વિકાસ ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં શહેરમાં એસ.ટી. ડેપોની સવલત મળી નથી. સિહોર તાલુકાને એસ.ટી. ડેપોની સવલત ન મળતા હાઇવે પર હોવા છતાં સિહોરને સીધી જોડતી એકપણ બસની સવલત ન મળતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે. જોકે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર-વરલ-ટાણા એક જ શટલ બસ રગશિયા ગાડાની માફક ચાલ્યા કરે છે. સિહોરથી પાલિતાણા, જેસર,અમરેલી,આટકોટ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ જવા માટે એસ.ટી.ની સવલત મળતી નથી. જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, વલભીપુર સહિતના તાલુકા મથકોએ એસ.ટી. ડેપોની વસલત છે ત્યારે સિહોરને આટલો મોટો અન્યાય શા માટે ? તેવા સવાલો આમ જનતામાં ઉઠી રહ્યા છે. સિહોરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. જેમાં કામ કરતા પર પ્રાંતીય મજુરો માટે લાંબા અંતરની એસ.ટી.ની સુવિધા નથી. સિહોર તાલુકાના 23 ગામો STથી વંચિતસિહોરના ભડલી, ધ્રુપકા, નવાગામ મોટા, મગલાણા, ભાણગઢ, ભોળાદ, ભાંખલ, બેકડી, થાળા, થોરાળી, ઝરિયા, સરવેડી, પાડાપાણ, પીપરડી, સરકડિયા (સોન), ઢાંકણકુંડા, ચોરવડલા, ઇશ્વરિયા, સમઢિયાળા, દેવગાણા, અગિયાળી, રબારિકા, તરકપાલડીમાં આજે પણ બસની સવલત નથી ત્યારે લોકોને નાછૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. સિહોરમાં ST ડેપો હોય તો તાલુકાની પ્રજાને લાભસિહોર એક તાલુકા મથક હોવા ઉપરાંત ભાવનગર –રાજકોટ હાઇ-વે પરનું મોટું શહેર છે. સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ બને તો તાલુકાના અનેક ગામોના લોકોને લાભ થાય. વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં અપ-ડાઉન ન કરવું પડે. લોકો સલામત સવારી કરી શકે. એસ.ટી. વિભાગ દ્વારા આ આ બાબતે વિચારવું જ રહ્યું. - ભાવેશભાઇ વોરા મંત્રી, સિહોર શહેર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા
હિસાબી વર્ષ અંતે મોટાભાગના સરકારી ખાતામાં જમા-ઉધારના લેખા જોખા સાથે કામગીરી વેગવંતી બનતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીનું વિતરણ, ગ્રાહકોને વીજળી પુરવઠો આપવા, વીજ બિલ વસુલાત, નવા જોડાણ આપવા અને વીજળીના માળખાગત વ્યવસ્થાપનનું કામ કરતી PGVCLમાં હાલ વીજળીના બાકી બિલની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એક તરફ વીજ કર્મચારીઓ વીજળીના બાકી બિલ વસૂલવા અથાગ મહેનત કરી રહ્યા છે. તેનાથી વિપરીત ભાવનગર જિલ્લામાં નવી લહેર સાથે વીજળી બાકી બિલના નાણાં ભરવા લોકોમાં આવેલી જાગૃતતાથી જિલ્લાના 13 ગામોએ વીજળીના 100% બિલ ભર્યા છે. હિસાબી વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી હોય PGVCL ભાવનગર સર્કલ નીચેના ભાવનગર સિટી-1, ભાવનગર સિટી-2, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની નાણાં વસુલાતની ખાસ ઝુંબેશને ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું સમર્થન મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોની મદદથી PGVCLના બાકી બિલના નાણાં લોકો પોતાની જવાબદારીનો ભાગ ગણી સામેથી ભરી રહ્યા છે. 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશુંPGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં કે તરફ વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ નાગરિક તરીકે રાષ્ટ્રિય ફરજ ગણી લોકો સામેથી વીજળીનું બાકી બિલ ભરી રહ્યા છે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ 13 જેટલા ગામોએ સંપૂર્ણ બિલ ભરી દીધું છે. જે અમારા માટે ગૌરવ સમાન બાબત છે ત્યારે વીજળીનું 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશું. - યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ક્યા-ક્યા ગામોએ 100% બિલ ભર્યા
સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા
આગામી તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. આ સાથે યુનિ. દ્વારા જે 88 ગોલ્ડ અને સિલ્વર મેડલ તેજસ્વી યુવક યુવતીઓને એનાયત કરવાના છે તેમનાં આ વર્ષે એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે યુવતીઓની મેડલ મેળવવાની ટકાવારી ઘટી છે અને યુવકોની વધી છે. આ વર્ષે કુલ 88 મેડલ પૈકી 51 મેડલ યુવતીઓએ મળ્યા છે જ્યારે 37 મેડલ યુવકોને ફાળે ગયા છે. ટકવારી મુજબ ગત વર્ષ. યુવતીઓને ફાળે 70 ટકા મેડલ હતા તે આ વર્ષે ઘટીને 57.95 ટકા થઇ ગઇ છે. જ્યારે યુવકોની મેડલ મેળવવાની ટકાવારી ગત વર્ષે માત્ર 30 ટકા હતી તે આ વર્ષે વધીને 42.05 ટકા થઇ ગઇ છે. તા. 29 માર્ચના રોજ આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 88 મેડલ છે તેમાં 51 મેડલ યુવતીઓના ફાળે ગયા છે. જ્યારે બાકીના 37 મેડલ યુવકોના ફાળે ગયા છે. ગત વર્ષે 88 મેડલ પૈકી 62 મેડલ યુવતીઓને અને 26 મેડલ યુવકોને મળ્યા હતા જે ટકાવારીની દ્રષ્ટિએ 70.45 ટકા મેડલો યુવતીઓને અને માત્ર 29.55 ટકા મેડલ યુવકોને મળ્યા હતા. આ વખતે યુવકોની ટકાવારી વધી છે. મેડિકલના એક જ વિદ્યાર્થીને 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલઆ વખતે દીક્ષાંત સમારોહમાં 88 મેડલ છે તેમાં સૌથી વધુ 8 મેડલ એક જ વિદ્યાર્થીને ફાળે ગયા છે. આ તેજસ્વી વિદ્યાર્થી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ ફાઇનલનો વિદ્યાર્થી છે. જય કમલેશભાઇ બજાજે 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલ મેળવ્યા છે. એમેબીબીએસની ફાઇનલમાં સૌથી વધુ માર્ક મેળવવા બદલ જયને 6 ગોલ્ડ, એ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર અને અને સિલ્વર મેડલ એનાયત થશે. દીક્ષાંત સમારોહનું આયોજન મહિલાઓ સંભાળશેઆ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે.
PGVCL એક્શન મોડમાં:વીજ કંપની 4 જિલ્લાના 20360 ગ્રાહકો પર તડાપીટ બોલાવશે
PGVCL દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 11 સર્કલ કચેરીઓમાં વીજ બિલના બાકી નાણાંની વસુલાત માટે ફેબ્રુઆરી મહિનાની માફક ફરીવાર મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. તા.17મી માર્ચ ભાવનગર ઝોનલ ઓફિસ નીચેના ચાર જીલ્લાની 94 સહિત PGVCLના 273 સબ ડિવિઝનોમાં ખાસ વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં આજે PGVCL ઝોનલ ઓફિસ ભાવનગર નીચેના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બિલ નહીં ભરનારા 20360 ગ્રાહકો પર ઘોચ બોલાવવામાં આવશે. ભાવનગર સર્કલના 5, અમરેલી સર્કલના 4, સુરેન્દ્રનગર સર્કલના 3 અને બોટાદ સર્કલના 2 મળી કુલ 14 ડિવિઝન નીચના વિસ્તારોમાં મેગા ડિસકનેક્શન ડ્રાઈવને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની 11 સર્કલ કચેરીઓમાં ગત 12મી માર્ચે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2નો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2માં સ્થાનિક કક્ષાએ PGVCL ભાવનગર સર્કલમાં વીજળીનું બિલ નહીં ભરનારા 6400 વીજ જોડાણ કાપવા 640 કર્મચારીના કાફલા સાથે 320 ટીમો કામે લગાડવામાં આવશે.
ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે 40 લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી અને આ જ સિલસિલો પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ દ્વારા ચાલી રહ્યો છે, તેનાં દ્વારા અત્યાર સુધી 20 લાખથી વધારે વ્યક્તિઓએ વ્યસન છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોનાં બાળકો શહેરના અલગ અલગ ફેક્ટરીઓ જેવી કે નિરમા લિમિટેડ, ચિત્રા વિસ્તારની અલગ અલગ ફેક્ટરીઓ, એસ ટી બસ સ્ટેન્ડ, વિવિધ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, મામસાની અલગ અલગ ફેક્ટરીઓ,રેલવે સ્ટેશન,વગેરેમાં જઈને ત્યાંના નાના કામદારોથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને, દર્દીઓ ને વ્યસનથી થતાં શરીરનાં નુકશાન દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી, આ દુષણથી મુક્ત કરવાં માટે નિયમ ગ્રહણ કરાવીને તેનાં જીવનનું ભલું કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ નાની નાની બાલિકાઓએ પણ શહેરની અલગ અલગ 10 કરતાં વધારે હોસ્પિટલોમાં જઈને આશરે 350 કરતા પણ વધારે દર્દીઓ તેઓ જલ્દી સારા થઇ જાય અને તેમનું અને તેમના પરિવારનું જીવન આરોગ્યપ્રદ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ રીતે બાળકો અને બાલિકાઓની નિસ્વાર્થ ભાવે થતી સેવા જોઈને સામેના વ્યક્તિઓ વ્યસન છોડીને પોતાના અને પોતાના પરિવારને એક સુંદર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા લે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના ગુરુ મહંત સ્વામિ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 થી 15 એપ્રિલ 2026 સુધી BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે ઉપક્રમે ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે તે માટે નાના મોટા તમામ સત્સંગી બાળકો,, ભાઈ, બહેનો દ્વારા અનોખો સેવા અને તપનાં નિયમો ગ્રહણ કરવામાં આવ્યા છે. 1250થી વધારે લોકોને નિર્વ્યસની બનાવ્યાભાવનગરનાં આશરે 350 કરતાં વધારે બાળકો અને બાલિકાએ અંદાજે 1250 કરતાં પણ વધારે લોકોને આ બીડી, સિગારેટ, તમાકુ વગેરે અનેક પ્રકારના વ્યસનોનાં દુષણથી મુક્ત કરીને નિવ્યસની બનીને તેનાં પરિવારનાં જીવનને ઉચ્ચ કક્ષાએ લઇ જવાની એક ઉમદા પ્રેરણા આપી રહ્યા છે. 60 જેટલાં કાર્યકરોની સાથે આ બાળકોની સુંદર અને નિસ્વાર્થભાવની સેવા દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
સન્ડે ફોટો સ્ટોરી:હરવા ફરવા માટેનું નવું નજરાણું, બોરતળાવ પાસે નિર્મિત અર્બન ફોરેસ્ટ
ભાવનગર એક એવું સ્થળ છે જ્યાં થોડા અંતરે તમને કંઈક નવું અને રમણીય સ્થળ જોવાં મળે. બોરતળાવથી ચાલો તો બટર ફ્લાય પાર્ક, બીજી દિશામાં તરસમિયા તળાવ, ટબુડી તળાવ, રુવા તળાવ, રવેચી ધામ, અકવાડા તળાવ, કુંભારવાડા બર્ડ વોચિંગ, કેબલ સ્ટેઇડ પૂલ, અરે આવા તો અનેક સ્થળો છે જેની રમણીયતા શબ્દોમાં વર્ણવી અશક્ય છે. બાગ બગીચા ધરાવતા સર્કલો તો ખરા જ. બોરતળાવ પાસે આવેલ આ અદભુત સ્થળ કે જ્યાં લખવામાં આવ્યું છે ‘’ I am in Urban Forest, BHAVNAGAR ‘’. તમે ફોરેસ્ટમાં આવી ગયા હોય અને બાજુમાં જ છલકાયેલું તળાવ હોય તો, ખરેખર આ રમણીયતાને માણવા જે તે સ્થળ પર જ જવું યોગ્ય ગણાશે.
સિટી એન્કર:એડવાન્સ ટેક્સ માટે ITની ઇ-ઝૂંબેશ: ઇ-મેલ ફટકાર્યા
આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવવામાં આવી છે. વિભાગ દ્વારા મોકલાયેલા ઇ-મેલમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા ટર્નઓવર, ખરીદી અને અન્ય નોંધપાત્ર નાણાકીય વ્યવહારોની વિગતો દર્શાવવામાં આવી છે. આ માહિતી વિવિધ ડેટા સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમાં GST રિટર્ન ફાઇલિંગ, નાણાકીય વ્યવહારના રેકોર્ડ અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આ સંદેશાવ્યવહારનો મુખ્ય હેતુ કરદાતાઓને માર્ચ મહિનાની સમયમર્યાદા પહેલાં તેમની એડવાન્સ ટેક્સ જવાબદારીનું પુનર્મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરવાનો છે. વિભાગ ઈચ્છે છે કે જો કોઈ બાકી રકમ હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવવામાં આવે અને પછી વ્યાજ અથવા દંડની સ્થિતિ ઊભી ન થાય. કર અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પહેલ ડેટા એનાલિટિક્સ અને માહિતી એકીકરણના વધતા ઉપયોગનો ભાગ છે. વિભાગ હવે વિવિધ સ્ત્રોતમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ કરીને કરદાતાઓને સમયસર યાદ અપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી સ્વૈચ્છિક પાલન વધે. આવકવેરા વિભાગ દ્વારા વિભાગ દ્વારા અનેક કરદાતાઓને ઇ-મેલ મોકલી તેમની નાણાકીય માહિતીના આધારે એડવાન્સ ટેક્સની જવાબદારીની સમીક્ષા કરવા યાદ અપાવી છે. કર ક્ષેત્રના નિષ્ણાતો અને વ્યાવસાયિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમના મતે, આવા લક્ષિત રીમાઇન્ડર કરદાતાઓને નાણાકીય ડેટાની અગાઉથી સમીક્ષા કરવાની તક આપે છે. જો ઓછો એડવાન્સ ટેક્સ ચૂકવાયો હોય તો સુધારો કરીને વ્યાજ કે દંડથી બચી શકાય છે. કેટલાક નિષ્ણાતોએ સંદેશાવ્યવહારના સમય અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા કરદાતાઓને 13 માર્ચની સાંજે આ ઇ-મેલ મળ્યા હોવાના અહેવાલ છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તા.15 માર્ચ છે. વચ્ચે સપ્તાહાંત હોવાથી કરદાતાઓને માહિતીનું વિશ્લેષણ કરવા અને વધારાની ચુકવણીની વ્યવસ્થા માટે ઓછો સમય મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરમાં ઝૂંબેશઇ-મેલમાં દર્શાવાયેલ ઊંચો GST ટર્નઓવર અથવા મોટા નાણાકીય વ્યવહારો આપમેળે એડવાન્સ ટેક્સ ચૂકવવાની ફરજ ઉભી કરતા નથી. જો કરદાતાને કરપાત્ર નફો હોય, TDS અથવા TCS ક્રેડિટ બાદ ચોખ્ખી કર જવાબદારી ₹10,000થી વધુ હોય ત્યારે જ એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી બને છે.આવકવેરા વિભાગે ડેટા આધારિત પાલન પહેલ હેઠળ દેશભરના કરદાતાઓને એડવાન્સ ટેક્સ સંબંધિત ઇ-ઝૂંબેશ શરૂ કરી છે. - સુનય જરીવાલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સન્ડે બિગ સ્ટોરી:હુમલાગ્રસ્ત જહાજો અલંગ માટે આફતમાં અવસર બની શકે
મધ્ય પૂર્વમાં વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને હોર્મુઝ સમુદ્રધૂની વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક જળમાર્ગીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે. ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુધ્ધના માહોલ વચ્ચે હોર્મુઝ સમુદ્રધૂનીમાં માલવાહક જહાજો પર હુમલાઓની ઘટનાઓ વધતી જઈ રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 જેટલા જહાજો પર હુમલા થયા હોવાનું આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ હુમલાઓને કારણે મોટા ભાગના જહાજો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યા છે. નિષ્ણાંતોના મત મુજબ, આ જહાજોને ફરીથી વેપારિક ફેરીમાં સામેલ કરવાની શક્યતા લગભગ નાબૂદ બની ગઈ છે. પરિણામે, આવા જહાજોને રિસાયક્લિંગ માટે મોકલવાની સંભાવનાઓ વધી રહી છે, જેના કારણે ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે નવી તકો ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇરાન દ્વારા હોર્મુઝ સમુદ્રધૂનીને નિયંત્રિત કરવામાં આવી રહી છે અને તેની આસપાસ રહેલા માલવાહક જહાજો પર હુમલા થવાના અહેવાલો મળી રહ્યા છે. વિશ્વના મહત્વના તેલ અને માલ પરિવહન માર્ગ તરીકે ઓળખાતી આ સમુદ્રધૂનીમાંથી દરરોજ મોટી સંખ્યામાં જહાજો પસાર થાય છે. તેથી અહીં થતા હુમલાઓનો સીધો પ્રભાવ વૈશ્વિક વેપાર અને શિપિંગ ઉદ્યોગ પર પડી રહ્યો છે. વિશ્વભરમાં શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયાના દેશોનું પ્રભુત્વ માનવામાં આવે છે. અંદાજે 80 ટકા જેટલા જહાજો રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં મોકલવામાં આવે છે. આ ક્ષેત્રમાં ભારતનું અલંગ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ કેન્દ્રોમાંનું એક ગણાય છે. છેલ્લા ત્રણ વર્ષથી અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીલ અને સ્ક્રેપના ભાવ ઘટતાં જહાજ લાવવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. જોકે છેલ્લા થોડા સમયથી મેટલ અને સ્ક્રેપના ભાવોમાં ફરીથી ચેતના દેખાતા અલંગમાં ધીમે ધીમે જહાજોની આવક શરૂ થઈ રહી છે. વિશેષજ્ઞો માને છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુધ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ વિસ્તારમાં વધુ જહાજો નુકસાન પામે, તો આવા જહાજોને રિસાયક્લિંગ માટે અલંગ મોકલવાની સંભાવના વધુ છે. જહાજોને અંતિમ રીતે ભાંગવા માટે જરૂરી સુવિધાઓ, મજબૂત માળખું અને અનુભવી મજૂરબળના કારણે અલંગને આ માટે આદર્શ સ્થળ માનવામાં આવે છે. દક્ષિણ એશિયામાં અલંગના મુખ્ય હરિફ તરીકે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ બ્રેકિંગ યાર્ડો ગણાય છે. જોકે આ બંને દેશોમાં હાલ નાણાકીય તરલતાની અછત તથા રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેના કારણે જહાજ માલિકો માટે વ્યવહારો અને ચુકવણીમાં અનિશ્ચિતતા ઉભી થાય છે. તેની સામે ભારતમાં સ્થિર નીતિઓ, સુવ્યવસ્થિત બેંકિંગ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થતું હોવાને કારણે જહાજ માલિકો માટે અલંગ વધુ વિશ્વસનીય ગંતવ્ય બની રહ્યું છે. જહાજ માલિકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમનું જહાજ સુરક્ષિત રીતે અંતિમ સ્થળે પહોંચે અને તેમની નાણાકીય પ્રક્રિયાઓ અટકે નહીં. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા શિપિંગ ઉદ્યોગના નિષ્ણાંતો માને છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાની સકારાત્મક અસર નજીકના સમયમાં અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર જોવા મળી શકે છે. ભાસ્કર એક્સપર્ટયુધ્ધના કારણે અલંગ ઉદ્યોગને ગતિ મળી શકેજો હાલમાં ચાલી રહેલા ઈરાક અને અમેરીકા વચ્ચેના યુધ્ધમાં નુકસાન પામેલા જહાજો અલંગમાં રિસાયક્લિંગ માટે આવે તો સ્થાનિક ઉદ્યોગને નવી ગતિ મળશે. સ્ટીલ સ્ક્રેપનું ઉત્પાદન વધશે, હજારો મજૂરોને રોજગાર મળશે અને અલંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી મંદીને રાહત મળી શકે છે. હાલ યુદ્ધમાં અનેક જહાજોને નુકશાન થઈ રહ્યું છે. - આશિત પરિખ, મરિન નિષ્ણાંત
સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:સરકારને અંગ્રેજીનું વળગણ, માતૃભાષાનો છોછ
એક તરફ સરકાર અંગ્રેજી તરફની આંધળી દોડમાંથી લોકોને બહાર કાઢવા શિક્ષણ અને સરકારી કામકાજમાં માતૃભાષા ગુજરાતીના ઉપયોગ પર ભાર મૂકી તેની માટેના કાયદાઓ પણ બનાવ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મહેસૂલી અધિકારી કર્મચારીઓને અંગ્રેજી તાલીમ આપી રહ્યા છે. અંગ્રેજી તાલીમ પણ અધિકારી કર્મચારીઓની ઈચ્છા મુજબ નહીં પરંતુ ફરજિયાત 80 કલાક ટ્રેનિંગ લેવાની રહેશે. માતૃભાષાનો આગ્રહ સરકાર કાગળ પર કરી રહી છે, અને સરકારનું જ અંગ્રેજી પાછળના વળગણનો ચુસ્તપણે અમલ પણ શરૂ કરી દીધો છે. ગુજરાત રાજ્યની રચના થયા બાદ, રાજ્ય સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરી રાજ્યની રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું છે. પરિપત્રો દ્વારા સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે સૂચનાઓ પણ આપતા હોય છે. ધ ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટમાં પણ ગુજરાતી ભાષાના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને નવી શિક્ષણ પદ્ધતિમાં પણ ગુજરાતી વિષય ફરજિયાત કરાવ્યો છે. સરકાર ગુજરાતી ભાષાની ઉપયોગીતા વધારવા માટે નીતિ નિયમો અને કાયદાઓ ઘડે છે પરંતુ તેના અમલીકરણને ચુસ્ત બનાવવાને બદલે શુષ્ક થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા SCOPE મારફત મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ માટે ઇંગ્લીશ એક્સેલેન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જેમાં ભાવનગર સહિત રાજ્યભરના મહેસુલ વિભાગના કર્મચારીઓએ પ્રિ ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ તેમજ 80 કલાકની ટ્રેનિંગ ફરજિયાત કરવા હુકમ કર્યો છે. અને તેની ફી પ્રતિ કર્મચારી દીઠ રૂ.6,450 નોન રિફન્ડેબલ રાખવામાં આવી છે. જે લાખો રૂપિયા સરકાર ચૂકવશે. સરકારી અધિકારી કર્મચારીઓને અંગ્રેજીની તાલીમ અપાવવા માટે લાખો રૂપિયાનું આંધણ કરશે, પરંતુ ગુજરાતી ભાષાના જ્ઞાન અને વપરાશ વધારવા માટે કોઈ પ્રયાસ કરાતો નથી. ચૂંટણી, વસ્તી ગણતરી, ખાતાકીય પરીક્ષા વચ્ચે હવે અંગ્રેજી તાલીમમહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે 80 કલાક ફરજિયાત તાલીમનું આયોજન કર્યું છે. જે તાલીમ ઓફિસ સમય પહેલા અથવા પછી બબ્બે કલાક આપવામાં આવી રહી છે. આગામી ચૂંટણી અને વસ્તી ગણતરીની કામગીરીનો બોજ કર્મચારીઓ પર છે ત્યારે અંગ્રેજી તાલીમ માટે 80 કલાકની હાજરી આપવા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ ફરજિયાત માતૃભાષાઅંગ્રેજી પાછળની આંધળી દોડમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પણ નવી શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષા પર ભાર મૂકી ધોરણ એક થી આઠમાં ફરજિયાત ગુજરાતી વિષયનો સમાવેશ કરવા 2023થી કાયદાની જોગવાઈ મુજબ અમલ કર્યો છે. અને જો તેમ ન થાય તો બે લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે. સરકારના પરિપત્ર મુજબ અંગ્રેજી તાલીમ આપવામાં આવે છેસરકારના પરિપત્ર મુજબ SCOPE દ્વારા તમામ કચેરીના કર્મચારીઓ અધિકારીઓને અંગ્રેજી શ્રેષ્ઠતા તાલીમ આપવામાં આવી રહી છે. જુદી જુદી કચેરીઓના તબક્કાવાર આયોજન થઈ રહ્યા છે. કર્મચારીની ફી સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવાશે. > એન.ડી.ગોવાણી, નિવાસી અધિક કલેકટર ભાવનગર જિલ્લાના 368 કર્મચારીઓ અંગ્રેજીની તાલીમ લેશેSCOPEના અંગ્રેજી તાલીમ અંતર્ગત ભાવનગર જિલ્લાના 368 અધિકારી કર્મચારીઓ 80 કલાકની ટ્રેનિંગ લેશે. નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસુલી તલાટી ભાવનગર શહેર ઉપરાંત સિહોર, તળાજા મહુવા અને પાલીતાણા ખાતે અંગ્રેજીની તાલીમ મેળવશે. શું છે ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ?ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ 1960ની કલમ 2 માં પણ સ્પષ્ટ રીતે ગુજરાતી ભાષાના વપરાશ માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે, રાજ્ય સરકાર સમયાંતરે સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા સ્પષ્ટ કરેલા હેતુઓ સિવાય ઉપયોગ કરાશે. પરંતુ રાજ્ય સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા જાહેર કરી શકે છે કે, હિન્દીનો ઉપયોગ ફક્ત એવા સત્તાવાર હેતુઓ માટે જ કરવામાં આવશે જે સૂચના દ્વારા સ્પષ્ટ કરવામાં આવે.
સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પોલીસ વડા:સુરત ડાયમંડ બુર્સની રાજ્યના પોલીસ વડાએ મુલાકાત લીધી
સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિઓ વચ્ચે રાજ્યના પોલીસ વડાએ મુલાકાત બાદ બેઠક યોજા હતી સુરત ડાયમંડ બુર્સમાં વેપારને વેગ મળી રહ્યો છે. દરરોજ નવી ઓફિસો વેપારી મિત્રો SDB શરુ કરી થઈ રહી છે, રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. કે. લક્ષ્મીનારાયણ રાવએ તેમની ટીમ સાથે ખજોદ ડ્રીમ સિટી ખાતે આવેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ડાયમંડ બુર્સના બિલ્ડિંગનું અવલોકન કરી ડાયમંડ ટ્રેડરો, વેપારીઓ, બ્રોકર મિત્રો અને આંગડિયા પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી હતી. તેમની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. મિટિંગ દરમિયાન સુરત ડાયમંડ બુર્સમાં વધતી વ્યાપારિક પ્રવૃત્તિ, વેપારીઓની વધતી અવરજવર તથા સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
સમૂહ વિવાહ સમારોહ યોજાયો:ગોડાદરામાં દ્વિતીય સમુહ વિવાહ સમારોહ યોજાયો, 51 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમુહ વિવાહ સમારોહનુ આયોજન 14 માર્ચ શનિવાર સાંજે મહર્ષિ આસ્તિક વિદ્યાલય ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સવારે 9:30 કલાકે મંડપ પ્રવેશ અને 10:30 કલાકે લગ્નનો પ્રારંભ થયો હતો. સમૂહ વિવાહ સમારોહ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલલે કન્યાઓને સુભાષિશ આપવાની સાથે આવતા વર્ષે 14 માર્ચ 2027ના રોજ થનાર ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું. ઉદ્ઘાટન કર્યું હતું. માથે દેવું કરીને વિવાહ કરવા પડે નહીં તે માટે સુરતમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના મધ્યમ વર્ગીય પરિવારોની દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાય તે માટે ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિના અગ્રણી અમરસિંહ રાજપુત, અમિત સિંહ રાજપુત, વિજય પ્રકાશ રાજપુત, અનુજ રાજપુત, ધર્માત્મા ત્રિપાઠી, કપિસ રાજપુત, અનુપ રાજપુત, ગીરીશ શ્રીવાત્સવ,રાજુ પાસવાન અને રાહુલ તિવારી સહિતના આગેવાનોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 35 જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં અપાઇ હતી. અતિથિ વિશેષ સંત વિજયનંદપુરીજી મહારાજ પંચાવતી મહાનિર્વાણી અખાડા દક્ષિણામૂર્તિ શનિ હનુમાન મંદિરના આશીર્વાદ અને ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને કિશોર બિન્દલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
એરપોર્ટ રોડ પર ‘રાજઘરાના લોન્સ’ ખાતે યશવી ફાઉન્ડેશન ટ્રસ્ટનો તૃતીય સમૂહલગ્નોત્સવ શનિવારે સંપન્ન થયો હતો, જેમાં જરૂરિયાતમંદ અને પિતાવિહોણી 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ સમારોહમાં પિતાની છત્રછાયા ગુમાવનારને પ્રાથમિકતા અપાઈ હતી. હવે તમામ દીકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી રસી પણ અપાશે. આ સમૂહલગ્નમાં 4,000થી વધુ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ગીરની અનાથ દીકરીનું કન્યાદાનનું સપનું સાકારઆ સમૂહલગ્નમાં ગીર-સોમનાથની એક અનાથ દીકરીએ પણ ફોર્મ ભર્યું હતું. પરિવારમાં 3 દીકરી જ હતી, જે પૈકી વચલી બહેને ફોર્મ ભર્યું હતું. માતા-પિતાના અવસાન પછી તેને ચિંતા હતી કે મારું કન્યાદાન કોણ કરશે? તેણે યશ્વી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયાને રિક્વેસ્ટ કરતાં તેનો પણ સમાવેશ કરાયો હતો.
સ્કિલ સેન્ટર:હવેથી સ્કૂલોમાં જ અપાશે કૃષિથી લઇ ITI સુધીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ
ગુજરાત બોર્ડ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની અંદાજિત 5700 ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 થી સેલ્ફ ફાઇનાન્સ ધોરણે વોકેશનલ એજ્યુકેશન શરૂ કરાશે.. શિક્ષણ બોર્ડ દ્વારા એગ્રીકલ્ચર, એપરેલ મેડઅપ્સ, ઓટોમોટિવ, વેલનેસ, બેન્કિંગ, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, IT-ITes, મીડિયા, પ્લમ્બિંગ, રીટેલ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, ટેલિકોમ, સ્પોર્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ અને કન્સ્ટ્રક્શન.સહિત કુલ 16 સેક્ટર્સની યાદી જાહેરકરાઇ છે. આ અભ્યાસક્રમો શરૂ કરવા માંગતી ખાનગી સ્કૂલોએ 20 એપ્રિલ સુધીમાં અરજી કરી DEO કક્ષાએથી મંજૂરી મેળવવાની રહેશે. આ રહેશે વોકેશનલ શિક્ષણનું માળખું લેબ અને ક્વોલિફાઇડ ટ્રેનર્સની વ્યવસ્થા કરવી પડશેસ્કૂલોએ જાતે કરવું પડશે લેબ સેટઅપ અને ટ્રેનર્સની નિમણૂક, બોર્ડની માર્ગદર્શિકા મુજબ વોકેશનલ વિષય શરૂ કરનાર સ્કૂલે પોતાના પરિસરમાં અલગ પ્રયોગશાળા બનાવવી પડશે, જેમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત, સ્કૂલોએ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) ના ધોરણો મુજબ લાયકાત ધરાવતા વોકેશનલ ટ્રેનર્સની નિમણૂક કરવાની રહેશે. આ ટ્રેનર્સનું મહેનતાણું પણ સ્કૂલ સંચાલકોએ જ ભોગવવાનું રહેશે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનર્સની વિગતોની ચકાસણી DEO દ્વારા સ્થળ તપાસ (Site Inspection) કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ કૌશલ્યના માર્ગો ખુલશે
નોકરી ન્યુઝ:રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યા ભરાશે, માસિક 8 હજાર સ્ટાઈપેન્ડ
દ. મધ્ય રેલવે દ્વારા ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરાઇ છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા વિવિધ ટ્રેડમાં કુલ 2801 એક્ટ એપ્રેન્ટિસ પદો પર નિમણૂક કરાશે. આ તાલીમ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ એક્ટ મુજબ દર મહિને અંદાજે 7,000 થી 8,050 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રેલવેમાં અનુભવ મેળવવા ઈચ્છતા ITI યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. મેરિટના આધારે પસંદગી આ રીતે અરજી કરી શકાશેરેલવેની વેબસાઈટ scr.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લોક અદાલત સાર્થક થઈ:ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ, ચેક બાઉન્સમાં 99 કરોડનું સેટલમેન્ટ
શનિવારે યોજાયેલી લોક અદાલતમાં લોકોએ ટ્રાફિક ચલણ પેટે 38 કરોડ ભર્યા હતા જ્યારે, ચેક બાઉન્સના કેસોમાં કુલ 99.32 કરોડનું સેટલમેન્ટ કરાયું હતું. વકીલોના સમાધાનકારી વલણ, માતા-પિતાએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા અનેક પરિવારના માળા ફરી બંધાયા હતા. એક કેસમાં તો પત્નીએ ઘરકામ નહીં કરવાની જીદ છોડી હતી અને પતિએ પણ પત્ની બહાર કામ કરે એ માટે મંજૂરી આપી હતી. એડવોકેટ પ્રીતિ જોષી કહે છે કે, બે કેસમાં આજ તર્ક પર સમાધાન થયું હતું. પતિ સારી રીતે રાખતો ન હોય પત્ની રાજી ન હતી. છુટાછેડા સુધીની અરજી કરી હતી. આખરે પત્નીના અઠવાડિયામાં એકવાર ફરવા લઈ જવાના કે બહાર જમવા બાબતની જે નાની-નાની તકારારો હતી તે પતિએ દૂર કરવાની તૈયારી દાખવી હતી. આ ઉપરાંત નેશનલ લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ અને પ્રિ લિટિગેશનના કેસોમાં લોકોએ 38 કરોડ ભર્યા-સેટલમેન્ટ કર્યા હતા. એડવોકેટ જફર બેલાવાલા કહે છે કે, લોક અદાલતોમાં થતા સમાધાનકારી વલણના લીધે જ કેસોનું ભારણ હળવું થઈ રહ્યું છે.
આગ લાગી:વાલક નજીક ચાલુ કારે શોર્ટસર્કિટથી આગ,ચાલક સહિત 2 લોકોનો બચાવ
વાલક પાટીયા પાસે ડસ્ટર કારમાં શુક્રવારે રાત્રે શોર્ટસર્કિટ બાદ આગ લાગી હતી. બોનેટમાંથી ધુમાડો નીકળતો જોઈ અન્ય વાહન ચાલકે જાણ કરતા કાર ચાલકે તાત્કાલિક કાર ઉભી કરી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. કારમાં સવાર બે વ્યક્તિ સમયસર નીચે ઉતરી ગયા હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. આગન કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
કુષ્ઠરોગનો દર્દી મળી આવતા ભારે દોડધામ મચી:ભટારમાં લેપ્રસીનો દર્દી મળતા તપાસ કરાતા રહીશોનો હોબાળો
ભટાર રોડ પર આવેલી જીવકોર સોસાયટીમાં કેન્સરના દર્દીઓ માટેના એક શેલ્ટર હોમમાં રહેતાં મહારાષ્ટ્રના દર્દીને સિવિલ હોસ્પિટલની તપાસમાં કુષ્ઠરોગ (લેપ્રોસી) ડિટેક્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે શનિવારે મહાપાલિકાની આરોગ્ય ટીમે ઘરે-ઘરે જઈ સર્વે શરૂ કરતાં જ સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ચાલતા આવા ખાનગી સેન્ટરોની કાયદેસરતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યાં હતાં. સેન્ટરો કેટલા સુરક્ષિત?રહીશોએ સુરત મહાનગરપાલિકા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રહેણાંક સોસાયટીમાં પરવાનગી વિના મેડિકલ કેર સેન્ટર જેવી પ્રવૃત્તિ જોખમી છે. આ વિસ્તાર અત્યંત ગીચ છે ગંભીર બીમારીના દર્દીઓ ખુલ્લેઆમ ફરતા હોવાથી જાહેર આરોગ્ય સામે ખતરો હોવાની આશંકા રહીશોએ વ્યક્ત કરી છે. રહીશોએ માંગ કરી છે કે, મહાપાલિકા આ સર્વેના હેતુ અને આવા સેન્ટરો અંગે લેખિત સ્પષ્ટતા કરી રહીશોને વિશ્વાસમાં લે. લેપ્રસી ચેપી નથી, ડરવાની જરૂર નથી: ડો. ફેનીલ (M.O.)પાલિકાના મેડિકલ ઓફિસર ડો.ફેનીલ પટેલે જણાવ્યું હતું કે, ‘મહાપાલિકાને આ અંગે જાણ થતાં જ જીવકોર સોસાયટીના 50 ઘરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. લેપ્રોસીથી લોકોએ ભયભીત થવાની જરૂર નથી. તે એરબોર્ન (હવાથી ફેલાતો) ડિસીઝ હોવા છતાં અત્યંત ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને જ અસર કરે છે. આ રોગ સીધો ચેપી નથી. અમે માત્ર સાવચેતીના ભાગરૂપે ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યા છીએ.દર્દી નંદરબાર ગયું હોય જો પરત નહીં આવશે તો ત્યાંના ડીસ્ટ્રીક્ટને પેશ્ન્ટ લેપ્રસીનું હોય તેની જાણ કરાશે તેથી ત્યાં સારવાર મળી શકે.’
છેતરપિંડી:આલબેનિયાના વિઝાના નામે 2 ઈજનેર મિત્રો સાથે 17.41 લાખની છેતરપિંડી
આલબેનિયામાં વિઝા અપાવવાના બહાને અડાજણના દંપતીએ બે એન્જિનિયર મિત્રો પાસેથી રૂ.17.41 લાખ પડાવી છેતરપિંડી કરી છે. મૂળ અમદાવાદ રહેતા યશ પટેલ સિમાટેકમાં એન્જિનિયર છે. તેમનો મિત્ર પથીક પટેલ પાંડેસરા શ્રુંગલ હોમ્સમાં રહે છે. બંને મિત્રો વિદેશ જવા માંગતા હતા. 2025માં પથીકે તેમના પરિચિત બ્રિજેશ લીલાભાઇ પટેલ (રહે, ક્રિશ રેસિડેન્સી, અડાજણ) વિઝા કરાવી આપતા હોવાનું કહ્યું હતું, જેથી બંને મિત્રોએ બ્રિજેશનો સંપર્ક કરતાં તે પાંડેસરા પથીકના ઘરે મળવા આવ્યો હતો અને બંને સાથે વાત કરીને આલબેનિયાના વિઝા ટિકિટ અને વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી હતી, જેનો કુલ રૂ.17.41 લાખ કહી ટેસ્ટ વિઝા અને ઓફર લેટરની કોપી મોકલી હતી. જેથી બંનેએ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં બંનેને મુંબઇ બોલાવીને વિઝા અને મુંબઇથી વાયા આઝરબેજાન થઇ આલબેનિયાની ટિકિટ મોકલી હતી, જેથી બંને મિત્રો મુંબઇથી ફ્લાઈટમાં આઝરબેજાન પહોચ્યા હતા, જ્યાં ઇમિગ્રેશને પકડી તપાસ કરતાં વિઝા ફેક નીકળ્યા હતા, જેથી પરત મોકલી કરી હતા. ભારત આવ્યા બાદ બંનેએ બ્રિજેશને વાત કરતા તે માનવા તૈયાર ન હતો અને પૈસા પણ પરત આપ્યા ન હતા. બ્રિજેશ અને તેની પત્ની પ્રિયંકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ બોલાવી બહાના કાઢી 5 દિવસ હોટલમાં રાખ્યાબ્રિજેશે બંનેને ટિકિટ લેવા ફાઉન્ટન હોટલ પર બોલાવ્યા હતા, જ્યાં બંને મિત્રોએ ટિકિટ માંગતા બ્રિજેશે બહાના કાઢી 5 દિવસ સુધી હોટલમાં રાખ્યા હતા. બાદમાં આઝરબેજાનની ટિકિટ આપી હતી. બંને મિત્રો ત્યાં જતા બે દિવસ હોટલમાં રોકાવ્યા હતા. બાદમાં અલબેનિયાની ટિકિટ મોકલી હતી, જે લઇને બંને બાકુ એરપોર્ટ પર ગયા તો પકડાઈ ગયા હતા.
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાતું યાર્ન માર્કેટ હવે શેરબજાર જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે. અગાઉ દર શુક્રવારે ભાવ જાહેર થતા હતા, પરંતુ હાલમાં રોજે રોજ નવા ભાવ વધારા સાથે જાહેર થઈ રહ્યા છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ ઘણા વર્ષોમાં આ સ્થિતિ પહેલીવાર જોવા મળી રહી છે. છેલ્લા 6થી 10 દિવસમાં મધર યાર્નના ભાવમાં કિલો દીઠ 50 રૂપિયા વધ્યા છે. પહેલાં ભાવ 100 રૂપિયા હતા જે 145થી 150 રૂપિયા થઈ ગયા છે. વિસ્કોસના ભાવ 215થી 220 રૂપિયા હતાં જે 245થી 250 થયા છે. યાર્નના ભાવ વધતાં પ્રતિ મીટર કાપડના ભાવમાં 2થી 8 રૂપિયા સુધીનો વધારો થયો છે. રોજ ભાવ જાહેર થવા સાથે બજારનો સમય પણ બદલાયો છે. સચિન જીઆઈડીસી એસો.ના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું કે ભાવની અસ્થિરતા ચિંતાજનક છે. જો આવી સ્થિતિ લાંબી રહેશે તો ઉત્પાદકો માટે પ્લાનિંગ કરવું મુશ્કેલ બનશે અને ખર્ચમાં વધારો થવાથી સ્પર્ધા પર પણ અસર થશે. ભાવ પડ્યા પછી જ ટ્રાન્ઝેક્શનએરજેટ વીવર્સ એસો. પ્રમુખ મયૂર ધોળિયાએ કહ્યું કે, ‘જોખમ વધી ગયું છે. દિવસ દરમિયાન ભાવોમાં મોટા ફેરફાર થવાની શક્યતા હોવાથી ઘણા વેપારીઓ સાવચેતીના ભાગરૂપે દિવસ દરમિયાન વેચાણ ટાળી રહ્યા છે અને સાંજે ભાવ નક્કી થયા પછી જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. ખર્ચ વધી જતાં દિવસે સેલ બંધયાર્ન બજાર અગાઉ સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે ખુલતું હતું અને દિવસે પણ વેપાર થતો હતો. હાલ યાર્નના વેચાણમાં અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે વેપારીઓએ દિવસ દરમિયાન સેલ બંધ રાખવાનું શરૂ કર્યું છે. હાલ બજાર સાંજે લગભગ 5 વાગ્યા પછી ખુલતું હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. બજારની પારદર્શિતા માટે ભાવના ઓચિંતા ઉછાળા પર દેખરેખ જરૂરીઉદ્યોગકારોના મતે ભાવ વધારો કૃત્રિમ છે. કેટલાક યાર્ન ઉત્પાદકો અને ટ્રેડરો પુરવઠાને નિયંત્રિત કરીને કે વેચાણનો સમય મર્યાદિત રાખીને ગેરલાભ ઊઠાવી રહ્યા છે. ખાસ કરીને બજારનો સમય સાંજે રાખવાની પ્રથા અને દિવસે સેલ બંધ રાખવાના નિર્ણયને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. બજારમાં પારદર્શિતા ઓછી થઈ રહી છે અને રોજે રોજ વધતા ભાવોથી વીવિંગ યુનિટો માટે ઉત્પાદન ખર્ચનું આયોજન મુશ્કેલ બની રહ્યું છે. વિસ્કોસ યાર્ન વૂડ પલ્પમાંથી બને છે, તેથી યુદ્ધ કે દરિયાઈ વેપારના જોખમ સાથે સંબંધ નથી છતાં પણ કેટલાક સપ્લાયરો આ કારણો રજૂ કરીને ભાવ વધારો કરી રહ્યા છે.
દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ અને સપ્લાયમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને શહેરમાં ફેલાયેલી ગેસ બોટલની અછત અંગેની અફવાઓ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર સક્રિય બન્યું છે. ગેસ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સહિત ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્ત્વનો નિર્ણય કરાયો છે કે, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં PNG ગેસની લાઈન નહીં હોય અને કોમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હશે તેમને ગેસની બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક પેન્ડિંગ ગેસ કનેક્શન વહેલી તકે આપવા ગુજરાત ગેસના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને ગેસ સપ્લાયમાં અગ્રતા, કલેક્ટરમાં અરજી કરવાની રહેશેકેન્દ્ર સરકારના સુધારેલા આદેશ મુજબ હવે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ અને મેસ જેવી આવશ્યક સેવાઓને કોમર્શિયલ સિલિન્ડર સપ્લાયમાં પ્રાથમિકતા અપાશે. હેલ્થ-એજ્યુકેશન કેટગરીમાં જ્યાં પીએનજી લાઈન નથી અને કોમર્શિયલ બોટલોનો ઉપયોગ થાય છે તેમને પણ બોટલો આપવામાં આવશે. આ માટે કલેક્ટરને અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કોમર્શિયલ ગેસની બોટલો આપવામાં આવશે ‘અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરો’ : જિલ્લા તંત્રએ ગુજરાત ગેસ અને સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ હોય ત્યાં અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કનેક્શન આપવામાં આવે. પેન્ડિંગ અરજીનો પણ ઝડપથી હલ લાવવા કહેવાયું છે.
સુરત મેટ્રોના ભૂગર્ભ રૂટમાં મુંબઈ મેટ્રો કરતાં વધુ અદ્યતન મોબાઇલ નેટવર્કિંગ હશે. ચોક બજાર, મસ્કતી અને લાભેશ્વર મેટ્રો સ્ટેશનો પર બિલ્ટ-ઇન 5G કવરેજ સોલ્યુશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી મુસાફરોનું મોબાઇલ નેટવર્ક વિક્ષેપિત ન થાય. GMRC એ ભૂગર્ભ સ્ટેશનો અને ટનલમાં સીમલેસ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ મેટ્રો મુસાફરી દરમિયાન 2G થી 5G સુધી સુસંગત અને સુધારેલ સિગ્નલ કામગીરી સુનિશ્ચિત કરશે. વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટમાં અડચણ નહીં આવેમેટ્રોની મુસાફરીમાં ઘણીવાર કોલ ડ્રોપ, ઈન્ટરનેટ આઉટેજ અથવા મેસેજ જવામાં વાર લાગવી જેવી સમસ્યાઓનો સામનો થાય છે. નેટવર્ક ખાસ કરીને ભૂગર્ભમાં ઘણીવાર વર્ચ્યુઅલ રીતે અસ્તિત્વમાં નથી. બિલ્ટ-ઇન સોલ્યુશન્સ મુસાફરો માટે સીમલેસ વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટ, સોશિયલ મીડિયા કે ઓફિસને લગતા કામો વિક્ષેપ વિના કરી શકાશે. GMRC ની યોજના અનુસાર, લાઇસન્સધારક સમગ્ર નેટવર્ક સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. લાઇસન્સનો સમયગાળો અંદાજે 9 વર્ષનો રહેશે. ટનલો બની ગઈ, હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનોનું કામ ચીલ રહ્યું છેસુરત મેટ્રો રેલના ભૂગર્ભ વિભાગ માટે ટનલ બની ગઈ છે. હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના ભૂગર્ભમાં મોબાઇલ નેટવર્ક માટે ટેન્ડર પ્રક્રિયા બે પેકેજમાં કરાશે. પ્રથમ ટેકનિકલ દરખાસ્ત અને બીજામાં નાણાકીય દરખાસ્ત. બીડ સબમિટ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ પર કરાશે. મુંબઈમાં મેટ્રોની ટનલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યામુંબઈ મેટ્રોના ભૂગર્ભમાં નેટવર્ક સમસ્યા આવી છે. ટેલિકોમ કંપનીઓની મર્યાદિત ભાગીદારી અને વાણિજ્યિક કરારના અભાવે કોલ ડ્રોપ, સેવા ન હોવી અને UPI પેમેન્ટ ફેલ જવા જેવી ફરિયાદો મળી રહી છે. ઘણા મુસાફરોને સ્ટેશન WiFi વાપરવા ફરજ પાડવામાં આવે છે.
મતગણતરીના અંતિમ પડાવમાં બાર કાઉન્સિલ ચૂંટણી:બીસીજી ચૂંટણીમાં અંતિમ 12 હજાર મત બાદ આજે પરિણામ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની ચૂંટણીની મત ગણતરી છેલ્લા ત્રણેક દિવસથી સતત ચાલી રહી છે અને હવે તે અંતિમ તબક્કે પહોંચી છે. બીસીજીના ચૂંટણી વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધી કુલ 34,279 મતની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે અંદાજે 12 હજાર જેટલા મતોની ગણતરી બાકી છે. મત ગણતરી પૂર્ણ થયા બાદ આજે પરિણામ જાહેર થવાનું શરૂ થશે. ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે એક દિવસમાં જ કુલ 18,754 બેલેટ ઉથલાવી તેની ગણતરી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 34,279 મતની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકી રહેલા અંદાજે 12 હજાર મતની ગણતરી રવિવારે પૂર્ણ થવાની શક્યતા છે. મતગણતરી પૂર્ણતા તરફ વધી રહી હોવાથી હવે ચૂંટણીના પરિણામ અંગે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે.
પરિણીતાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ:રાજકોટમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો’તો
શહેરના 40 ફૂટ રોડ પર ઓમનગર સર્કલ પાસે રહેતી સંગીતાબેન રમેશભાઈ મેરિયા (ઉ.વ.32)ની પરિણીતાએ પતિ રમેશભાઈ, સસરા વિનોદભાઈ નારણભાઇ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈ સામે તાલુકા પોલીસ મથકમાં પોતાને માનસિક અને શારીરિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2014માં થયા છે અને સંતાનમાં દીકરો, દીકરી છે. ઘરમાં પૈસાનો વહીવટ મારા સાસુ-સસરા ચલાવે છે, ઘરમાં પૈસાની જરૂરિયાત હોય ત્યારે તેમની પાસેથી પૈસા માગવાના હોય છે. લગ્નના એકાદ વર્ષથી પતિ સાથે મનમેળ રહેતો ન હોય આથી ઝઘડા થતા હતા. પતિ જેઠ સાથે કામ કરતા તો જેઠ પાસે પૈસા માગતા ત્યારે જેઠ પૈસા આપતા નહોતા, જેઠ ભૂવા હોવાથી તેની રસોઈ બનાવવા માટે સાસુ માનસિક ત્રાસ આપતા હતા. પતિ મને કહેતા કે, તારા મા-બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી ઝઘડો કરી માર મારતા હતા અને હોળીમાં પતિ પાસે બાળકોની પિચકારી અને રંગ માટે પૈસા માગતાં મારી પાસે પૈસા નથી કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. તું મરી જા નહીંતર હું તને મારી નાખીશ તેમજ સાસુ અને બંને જેઠ રૂમમાં આવી જેમ ફાવે તેમ ગાળો આપતા હતા અને સસરા સહિતના મને ઘર છોડી જવાનું કહેતા કંટાળી તા.4ના ઘઉંમાં નાખવાના ટીકડાં પી લેતા મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે પતિ સહિત સાસરિયાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાપમોચિની એકાદશી:આજે ભગવાનને પીળું ફૂલ, પીળી મીઠાઇ ધરવાનું મહત્ત્વ
પંચાંગ પ્રમાણે આજે ફાગણ વદ અગિયારસને રવિવારે તા.15 માર્ચના રોજ પાપમોચિની એકાદશી છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય, જીવનનાં અશુભ તત્ત્વોનો નાશ થાય, મનોકામના પૂર્ણ થાય, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાનને સૂકોમેવો ધરાવવાનું મહત્ત્વ છે અને પીળું ફૂલ અર્પણ કરવાનું મહત્ત્વ રહેલું છે. દરેક એકાદશીનું કંઇકને કંઇક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે ત્યારે વિધિવત આ વ્રત રહેવાથી પાપમોચિની એકાદશીનું પણ ખૂબ મહત્ત્વ છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય અથવા તો એકટાણું કરવું. સવારના સ્નાન કરી અને બાજોઠ અથવા પાટલા ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી અથવા મૂર્તિ પધરાવી દીવો, અગરબત્તી કરવા. ભગવાનને પીળા ચંદનનો ચાંદલો, ચોખા કરવા પીળું ફૂલ અર્પણ કરવું. અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અગરબત્તી દીવો અર્પણ કરવા. નૈવેદ્યમાં સૂકોમેવો તથા પીળા કલરની મીઠાઈ ધરવી, આરતી કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનના 108 કે 1008 નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી. શક્ય હોય તો, બપોરે નિદ્રા કરવી નહી તથા રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આમ વ્રત કરવાથી પાપનું મોચન થાય છે અને નવગ્રહ શાંતિ થાય છે. આ એકાદશીની કથાના બોધ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આપણે મનુષ્ય છીએ તથા કળિયુગ હોવાથી ઘણીવાર કામ, ક્રોધ, મોહ થકી અનેક પાપ કર્મ થઈ જતા હોય છે. જેવા કે કોઈનું અહિત કરવું, બીજાનું ધન લઈ લેવું, કોઈની ખોટી મોહમાયામાં પડવું આમ આવા અનેક નાના મોટા પાપ, કર્મ થતા હોય છે, પરંતુ આ કરવાથી આપણા નવગ્રહ દોષિત થાય છે અને તેનું અશુભ ફળ ભોગવવું પડે છે. આથી ખ્યાલ રાખવો જોઈએ કે, આવા કર્મ ન કરવા અને ગીતા રામાયણના નિયમને અનુસરી જીવન જીવવું જોઈએ.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના પગલે સમગ્ર દેશમાં હાલ ગેસની અછત સર્જાય છે ત્યારે ગુજરાતમાં રાજકોટ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓને તેમજ અન્નક્ષેત્ર ચલાવતી ધાર્મિક સંસ્થાઓને પણ ગેસ સિલિન્ડર મળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. જેના પગલે રાજકોટમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ કે જેઓ વિનામૂલ્ય ગરીબોને ભોજન જમાડે છે તેવી સંસ્થાઓને અન્નક્ષેત્ર ચલાવવાની મુશ્કેલી પડી છે. સાથોસાથ શહેરના જુદા જુદા વૃદ્ધાશ્રમોમાં પણ રાંધણગેસના તેમજ કોમર્સિયલ વપરાશના ગેસ સિલિન્ડર ન મળતા દિનપ્રતિદિન પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓને હવે માટીના ચૂલા તેમજ સગડી સળગાવીને પણ ગરીબોને વિનામૂલ્યે ભોજન આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ છતાં અન્નક્ષેત્ર હજુ પણ શરૂ રાખવામાં આવ્યા છે. મોટા મંદિરોમાં પ્રસાદ બનાવવાનું યથાવતરાજકોટના મોટા મંદિરોમાં પહેલેથી જ દેશી ચૂલા પર રસોઇ કરવામાં આવે છે. તેથી પ્રસાદ બનાવવાનું યથાવત રહેશે. જેમાં કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરે 1000થી 2500 જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે અને ત્યાં ઇંટની ભઠ્ઠીમાં ભોજન બનાવાય છે જ્યારે રતનપરના રામચરિતમાનસ મંદિરે ખાડો કરી દેશી ચૂલા પર રસોઇ બને જે જ્યાં રોજના 200થી વધુ ભક્તો પ્રસાદ લે છે, પરંતુ સંસ્થા કે ટ્રસ્ટમાં ચૂલા પર રસોઇ કરવાનો વિકલ્પ જ પસંદ કરવો પડશે. ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેટલી જ વ્યવસ્થા, ભોજનાલય, વૃદ્ધાશ્રમમાં વધુ અસર
ધમકી:સોનાની લકી પરત માગતા મારવાડી કોલેજના વિદ્યાર્થીને મિત્રની ખૂનની ધમકી
રાજકોટ શહેરના જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય તેના જ મિત્રએ સોનાની લકી પરત માગવા જેવી સામાન્ય બાબતે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી આ બનાવ અંગે ફરિયાદન નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં, જયરાજ પ્લોટ 8/13 માં રહેતા મીત દીપકભાઈ શાહ(ઉં.વ.21) નામના યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મંથન મનીષભાઈ મુંધવા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 08 ના મીત શાહ પાસેથી મંથન મુંધવા સોનાની લકી પહેરવા માટે લઈ ગયો હતો. મીતે પોતાની લકી પરત માગતાં મંથને આનાકાની કરી હતી. અંતે મીતે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા મંથને લકી તો પરત આપી દીધી હતી, પરંતુ આ બાબતની દાઝ મનમાં રાખી હતી. શુક્રવારે મંથને મીતને ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, “તે પોલીસ સ્ટેશન જવાની વાત કેમ કરી હતી? તું તારા ઘરની બહાર નીકળીને બતાવ, હું મારી ગાડી લઈને તારા ઘરની બહાર જ ઊભો છું.’ ગભરાયેલા મીતે આ અંગે તેના મોટાબાપુ અનિલભાઈને જાણ કરી હતી. જ્યારે મંથનનો ફરી ફોન આવ્યો ત્યારે સ્પીકર પર વાત કરવામાં આવી હતી. આ સમયે પણ મંથને બેફામ ગાળો ભાંડી ધમકી આપતા કહ્યું હતું કે, “હવે ઘરની બહાર આવ, તને જીવતો નહીં છોડું અને તારા બહુ ખરાબ હાલ કરીશ.’ ગભરાયેલા યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં બોટાદના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ગુનામાં ઝડપાયેલી મોરબીની પાયલ પટેલ, નિલેશ ભરવાડ અને કમલેશ મહેતાની ટોળકી સામે વધુ બે ઠગાઈના બનાવો બહાર આવ્યા છે. ટોળકીએ એક ભૂવાને માતાજીની માનતા પૂરી કરવાના બહાને અને એક ખેડૂતને દવાખાનું અને મેડિકલ શરૂ કરાવવા બહાને કુલ રૂ.36.69 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં ઉઘરાણી કરતા રેપની ખોટી ફરિયાદ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રથમ બનાવમાં પડધરીના બાઘી ગામે રહેતા ખોડીદાસ છોટુભાઈ જાદવ (ઉ.વ.46)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બગસરાની પાયલ ભાવિન પટેલ અને પડધરીના નારણકા ગામે રહેતા નિલેશ ઝુંઝા ભરવાડને આરોપી બનાવ્યા છે. ફરિયાદ મુજબ નિલેશ ભરવાડને ફરિયાદી નાનપણથી ઓળખતા હોવાથી તેણે પાયલ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. પાયલ પટેલે દવાખાનું અને મેડિકલ શરૂ કરવા પૈસાની જરૂર હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ નોટરાઈઝ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ફરિયાદી પાસેથી રૂ.10 લાખ તેમજ અન્ય રૂ.5 લાખ રોકડા અને રૂ.15 લાખ ફરિયાદીના દીકરા તથા મિત્ર મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કુલ રૂ.30 લાખ મેળવી લીધા હતા. બાદમાં ફરિયાદીએ નાણાં પરત માગતાં પાયલ પટેલે બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ ફરિયાદીના ઘેર અને ગામમાં વાઇરલ કરી બન્નેના સંબંધ અંગે બદનામ કરવાની તથા રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં પડધરીના નવા નારણકા ગામે રહેતા લાલજીભાઈ હરિભાઈ રોજમાળાએ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી પાયલ ભાવિન પટેલ અને સુરતના કમલેશ પ્રવીણ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પાયલ પટેલે ફોન કરી ફરિયાદીને તમે માતાજીના ભૂવા છો, અમારે માનતા કરવા આવવું છે તેમ કહી કમલેશ મહેતાની ફોર વ્હિલ કાર નં. GJ-14-BD-6869માં તેમના ઘરે આવી હતી. બાદમાં વારંવાર ફોન અને વોટ્સએપ મેસેજમાં મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ પૈસાની જરૂરિયાત હોવાનું કહી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે રૂ.7.74 લાખ પડાવ્યા હતા. તેમાંથી રૂ.1.05 લાખ પરત આપ્યા બાદ બાકીના રૂ.6.69 લાખ પરત ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ મેસેજ ગામમાં વાઇરલ કરી દેવાની તેમજ રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શાહેદ રમેશ વાલજીભાઈ બેડિયા પાસેથી પણ રૂ.2.50 લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને બનાવોમાં અલગ અલગ ગુનાઓ નોંધી પાયલ પટેલ સહિત ત્રણ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનને લઈને ઊભેલા સંશોધનપત્ર કાંડમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિવાદમાં સપડાયેલા અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.કમલ મેહતાએ બે દિવસ પહેલાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, જર્નલમાં જૂની તારીખે પ્રકાશિત થયેલા પોતાના કથિત સંશોધનપત્રો પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ જર્નલના તમામ એડિટરોને પણ દૂર કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ફરિયાદ કરનાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.નિદત બારોટે તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉઠાવ્યો છે કે, જો કમલ મેહતા ખરેખર નિર્દોષ હોય તો પછી જર્નલમાંથી સંશોધનપત્રો દૂર કેમ કરાયા? તેમણે જણાવ્યું હતું કે કમલ મેહતાએ અગાઉ તેમના પર આરોપ મૂક્યો હતો કે, આ ફરિયાદ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી છે, પરંતુ હવે હકીકત સામે આવી રહી છે. ડો. બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તામંડળમાં રહેવા માટે ચોક્કસ સંખ્યામાં સંશોધનપત્રો હોવા જરૂરી હોય છે. કમલ મેહતાએ જે સંશોધનપત્રોના આધારે પોતાની લાયકાત દર્શાવી હતી તે હવે જર્નલ પરથી ગાયબ થઈ ગયા છે. જેના કારણે તેઓ સત્તામંડળમાંથી બહાર થઈ ગયા છે અને હવે બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચનામાં પણ ફેરફાર થયો છે. આ ઘટનાએ યુનિવર્સિટીના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સંશોધનપત્રોની તારીખ અને પ્રકાશન અંગે ઉઠેલા સવાલો વચ્ચે જર્નલની આખી રચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તમામ એડિટરોને હટાવીને હવે નવું એડિટોરિયલ બોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વિગતો જર્નલની વેબસાઈટ પર પણ જોવા મળે છે. ડો.બારોટે વધુમાં કહ્યું હતું કે, તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે આખરે “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ જશે અને હવે હકીકત ધીમે ધીમે બહાર આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી નથી કારણ કે, તેમની ઈચ્છા કોઈ અધ્યાપકને કોર્ટ અને વકીલોના ધક્કા ખવડાવવાની નથી. પરંતુ જો જરૂર પડશે તો આગળ કાનૂની પગલાં લેવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આ સમગ્ર પ્રકરણને લઈને હવે યુનિવર્સિટીના શૈક્ષણિક અને પ્રશાસનિક વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો બધું સાચું હતું તો પછી સંશોધનપત્રો અચાનક ગાયબ કેમ થયા?
જીવલેણ હુમલો:રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો
લોધેશ્વર સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો શૈલેષ ધનસીંગભી જરિયા (ઉ.વ.30)નો રાત્રિના દશેક વાગ્યે ઘર પાસે મોટાભાઈ સાથે બેઠો હતો. ત્યારે પાડોશમાં રહેતો અર્જુન ઉર્ફે મેરિયો ત્યાં આવી જૂની માથાકૂટનો ખાર રાખી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો હતો અને નેફામાંથી છરી કાઢી હુમલો કરતા પેટના ભાગે ઘા લાગી ગયો હતો. દેકારો થતા શખ્સે જતા જતા આજે તો તને મારી જ નાખવો છે તેમ ધમકી આપી હતી. યુવકને લોહી નીકળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શૈલેષને અગાઉની માથાકૂટ થઇ હોય તેનો ખાર રાખી અર્જુન ઉર્ફે મેરિયાએ છરી ઝીંકી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
SOGની કાર્યવાહી:ડ્રાઇવિંગનો ધંધો કરતો લાપાસરી ગામનો શખ્સ બે દેશી પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહી દરમિયાન એસઓજીએ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા એક લોહાણા શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઇ રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેર એસઓજીનો સ્ટાફ શનિવારે બપોરે પેટ્રોલિંગમાં હતો ત્યારે રણુજા–લાપાસરી રોડ પર ફલોરેન્સ પાર્ટી પ્લોટ પાસે જાહેરમાં ઊભેલા એક શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સંજય ભીખુ ભૂપ્તા નામના શખ્સને કોર્ડન કરી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આરોપીના કબજામાંથી દેશી બનાવટની બે પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને વીવો કંપનીનો મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભીખુ ભૂપ્તા કોઠારિયા મેઇન રોડ પર ઓમ રેસિડેન્સીમાં રહેતો હોવાનું અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી આ ગેરકાયદે પિસ્તોલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આરોપી ગેરકાયદે હથિયારની હેરાફેરીના રેકેટ સાથે તો સંકળાયેલો નથીને કે કોઇ ગુનો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપીને રિમાન્ડ પર લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
દુબઇમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના 141મા માળે આખા ફ્લોરમાં બનેલી ઓફિસ....50 કિલોમીટર દૂર 80 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું વિશાળ ફાર્મ હાઉસ....ફાર્મ હાઉસમાં 11 બેડરૂમ, 4 હોલ....11 લક્ઝુરિયસ કાર.... આ જાહોજલાલી એક એવા ભારતીય પરિવારની છે જે 11 વર્ષ પહેલાં દુબઇ સ્થાયી થયો છે. મૂળ રાજસ્થાનના મારવાડી જૈન પરિવારમાં જન્મેલા અને છેલ્લી 7 પેઢીથી મહારાષ્ટ્રના માલેગાંવ અને પુનામાં રહેતાં ધીરજ જૈન દુબઇમાં સ્ટાર્ટ અપમાં રોકાણ કરે છે અને રિયલ એસ્ટેટ ડેવલપરનો ધંધો પણ કરે છે. તેઓ જુમેરા-1 નામની બિલ્ડિંગમાં રહે છે. ઇરાને દુબઇ પર હુમલો કરતાં ત્યાં ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયો અને વિદેશી નાગરિકો ફસાઇ ગયા હતા. ધીરજ જૈને ફસાયેલા લોકો માટે પોતાનું ફાર્મ હાઉસ ખુલ્લું મૂકી દીધું હતું. તેમણે લોકો માટે ફક્ત રહેવા-જમવાની વ્યવસ્થા જ નહીં પણ હોટલથી લાવવા માટે વાહનની સુવિધા અને બીમાર લોકોને દવા પણ પૂરી પાડી હતી. યુદ્ધના કારણે લોકોની માનસિક સ્થિતિને ધ્યાને રાખીને કાઉન્સેલિંગની સેવા પણ આપી હતી. આમ દુબઇમાં પણ એક પ્રકારનું મિની ઇન્ડિયા ઊભું કર્યું હોવાની સ્થિતિ સર્જી દીધી હતી. લોકોએ અહીંથી છૂટા પડતી વખતે આંખમાં આંસુ સાથે વિદાય લીધી હતી. દિવ્ય ભાસ્કરે ધીરજ જૈન અને તેમના ફાર્મ હાઉસમાં રોકાયેલા એક ભારતીય નાગરિક સાથે વાતચીત કરી હતી. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો તેમની સંવેદનશીલતાની વાત. હુમલો થયો અને ફાર્મ હાઉસ ખૂલ્લું મૂકવાનો વિચાર આવ્યોઇરાને જ્યારે પહેલીવાર દુબઇ પર હુમલો કર્યો ત્યારે મોબાઇલ પર એલર્ટ આવ્યું હતું કે દુબઇમાં ડ્રોન અને મિસાઇલ હુમલા થઇ રહ્યાં છે. આ સમયે ધીરજ જૈન બુર્જ ખલીફામાં આવેલી પોતાની ઓફિસમાં હતા. તેમણે ઓફિસમાં બેસીને જ હુમલા અંગેની વિગતો મેળવી હતી. આના પછી તેઓ સાંજે 6:30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. હુમલાના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવી ગયો હતો. ધીરજ જૈને દુબઇમાં ફસાયેલા લોકો માટે કંઇક કરવાનું વિચારી લીધું હતું. તેમને આઇડિયા આવ્યો કે અંદાજે 2 એકરમાં ફેલાયેલું મારૂં ફાર્મ હાઉસ હું લોકોની સેવા માટે ખૂલ્લું મૂકી દઉં તો કેવું રહે? 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાંતેમણે પોતાના વિચારનો તરત જ અમલ કર્યો અને રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક મેસેજ બનાવ્યો અને ફોરવર્ડ કરવા લાગ્યા. મેસેજમાં હતું કે જેને કોઇ તકલીફ હોય તે મારા ફાર્મ હાઉસ પર આવી શકે છે. ધીરજ જૈન અને તેનો પરિવાર સતત 11 દિવસ સુધી ફાર્મ હાઉસમાં રહ્યાં હતા અને લોકોને મદદ પૂરી પાડી હતી. કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ ફોરવર્ડ કર્યાંધીરજ જૈને દિવ્ય ભાસ્કરને કહ્યું કે, દુબઇમાં ત્યારે ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. મેં મહારાષ્ટ્રીયન, રાજસ્થાની, જૈન અને ભારતીય વગેરે જેવા અલગ અલગ કોમ્યુનિટી ગ્રુપ્સમાં મેસેજ મોકલ્યાં હતા. મારો મેસેજ ઇન્ડિયન કોન્સ્યૂલેટ સુધી પણ પહોંચ્યો હતો. જ્યારે લોકો ઇન્ડિયન કોન્સ્યૂલેટને ફોન કરતાં કે અમે દુબઇમાં અટવાયેલા છીએ અને મદદની જરૂર છે ત્યારે કોન્સ્યૂલેટ તરફથી પણ અમારો નંબર અપાતો હતો. તેમના ફાર્મ હાઉસ પર 700થી 1 હજાર લોકોની વ્યવસ્થા થઇ શકે તેમ હતી. તેમનું ફાર્મ હજુપણ લોકો માટે ખૂલ્લું જ છે અને હજુપણ લોકો આવી રહ્યાં છે. 10 હજાર લોકો જમી શકે તેટલું અનાજ લાવ્યાતેઓ કહે છે કે, મારી પાસે ફાર્મ હાઉસ પર 100 મેટ્રેસીસ હતા અને મને અંદાજ હતો કે વધારે જરૂર પડશે એટલે અમે તૈયાર જ હતા. અમે 500 મેટ્રેસીસ લઇ આવ્યા અને 700 બ્લેન્કેટ લઇ આવ્યા. 10 હજાર લોકો ભોજન કરી શકે તેટલાં અનાજનો અમે ઓર્ડર આપીને અહીંયા લઇ આવ્યા હતા.મેં અત્યારે પણ બધાંને કહ્યું છે કે ફરીવાર પેનિક થાય તો મારું સરનામું અને મારો નંબર બધાંને ખબર જ છે. 25 લોકોનો સ્ટાફ સેવામાં લાગી ગયોકુલ 300થી 350 લોકો તેમના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. જેમાંથી કેટલાક લોકો એક દિવસ તો કેટલાક 3 દિવસ સુધી રોકાયા હતા કારણ કે તેમની ટિકિટ બૂક નહોતી થતી. ઘણાં લોકો 6-7 દિવસ સુધી રોકાયા હતા. ધીરજ જૈન પાસે કુક વગેરે મળીને કુલ 25 લોકોનો સ્ટાફ હતો. તેમણે પોતાની ઓફિસના કર્મચારી અને મિત્રોને મેસેજ કરીને ફાર્મ હાઉસ પર લોકોની સેવા માટે બોલાવી લીધા હતા. કોઇ પાસેથી એકપણ રૂપિયો નથી લીધોવ્યવસ્થાની વાત કરતાં તેમણે કહ્યું કે, રહેવા માટે જગ્યા અને ખાવાનું ફ્રી હતું. અમે હોટલથી લાવવા તેમજ એરપોર્ટ પર ડ્રોપ પણ કરી આવતાં હતા. તેના માટે મારી 11 કાર પણ લોકોની સેવામાં મૂકી દીધી હતી. તે પણ 100% ફ્રી હતું. અહીંયા કોઇની પાસે એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. અમે કોઇ સામાજિક સંસ્થા, સરકાર કે કોઇની પાસેથી એક રૂપિયો લીધો નથી. બધો ખર્ચો અમે અમારા ખિસ્સાંમાંથી જ કર્યો છે. અમારે માત્ર સેવા કરવી હતી. સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી લોકોની સેવામાંધીરજ જૈન અને તેનો પરિવાર ટેન્ટમાં રહેતાં લોકો સાથે ટેન્ટમાં જ સૂઇ જતો. તેઓ કહે છે કે, અમારે એ લોકોને એવો અહેસાસ કરાવવો નહોતો કે તમે ઇન્ડિયાની બહાર ક્યાંય અટવાયા છો. લોકોની સેવા માટે અમે સવારે 6 વાગ્યે ઊઠી જતાં હતા અને રાત્રે 12 વાગ્યે સૂતા હતા. અમારા બાળકોએ પણ લોકોની સેવા કરી હતી. કોઇ ગેસ્ટે તો એવું કહ્યું હતું કે અમે ટુરિસ્ટ બનીને આવ્યા હતા પણ ફેમિલી બનીને જઇ રહ્યાં છીએ. ફાર્મ હાઉસમાં રોકાયેલા લોકોને સવારે બ્રેક ફાસ્ટ, બપોરે લંચ, સાંજે ટી અને રાત્રે ડિનર આપવામાં આવતું હતું. આ ઉપરાંત સવારે મેડિટેશન અને યોગ કરાવતાં હતા. બપોરે ફૂટબોલ, બેડમિન્ટન અને ક્રિકેટ જેવી ગેમ્સ રમાડતાં હતા. સાંજે બધાં સાથે મળીને મૂવી જોતા હતા. દુબઇમાં આવું થશે તેની કલ્પના પણ નહોતીઃ ધીરજ જૈનતેમણે કહ્યું કે, અમે ઇન્ડિયા-પાકિસ્તાન, ઇન્ડિયા- ઇંગ્લેન્ડ, ઇન્ડિયા-ન્યૂઝિલેન્ડ મેચ પણ લોકો સાથે મળીને જોઇ હતી. આ બધું કરવાનું કારણ એ હતું કે લોકો અહીંયા પેનિક સિચ્યુએશનમાં આવ્યા હતા. ઉપર આકાશમાં ડ્રોન અને મિસાઇલ ફૂટતાં હતા. દુબઇમાં આવું કંઇ થાય તેવી ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આમાંથી ઘણાં બધાં તો પહેલી વખત ઇન્ડિયા છોડીને ઇન્ટરનેશનલ ટૂર પર નીકળ્યાં હતા. અહીં આવેલા લોકો માટે 3 અલગ અલગ હોસ્પિટલના કેમ્પ પણ કરાવ્યા હતા. રાઇટ હેલ્થ, બી.એન.સિંહા અને NMC એમ 3 હોસ્પિટલોએ તેમના ખર્ચે અહીંયા કેમ્પ કર્યાં હતા. લોકોનું મેડિકલ ચેકઅપ કરીને જરૂરી દવાઓ પણ તેમને આપી હતી. કેટલાંક પેસેન્જર 7 કે 8 દિવસની બી.પી. અને ડાયાબિટીસની દવા લઇને આવ્યા હતા. તેમની દવા પૂરી થઇ ગઇ હતી. જેથી એ જ દવા પણ તેમને લાવીને આપી હતી. લોકોનું કાઉન્સેલિંગ કર્યુંતેઓ આગળ કહે છે કે, અમે બે પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો હતો. જેમાં એક પેનિક સિચ્યુએશન હતી, લોકો રડી રહ્યાં હતા. ઇન્ડિયાથી લોકોના ફોન આવતાં હતા. અમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હતી. અમે તો કાઉન્સેલિંગ કરી જ રહ્યાં હતા પરંતુ અમે બહારથી પણ કેટલાક કાઉન્સેલર બોલાવ્યા. સ્વૈચ્છિક રીતે કેટલાંક લોકો અહીંયા આવ્યા અને તેમની સાથે વાત કરી અને તેમને ગેમ્સમાં ઇનવોલ્વ કર્યા તો લોકો આ પેનિકમાંથી બહાર નીકળવા લાગ્યાં હતા. કરોડપતિ લોકો મિત્રો સાથે ટેન્ટમાં રહેવા આવ્યાવધુમાં તેમણે જણાવ્યું કે, મારી પાસે 2 કેટેગરીના લોકો હતા. એક એવા પ્રકારના લોકો હતા જેમની પાસે પૈસા નહોતા, લિમીટેડ બજેટ લઇને આવ્યા હતા. તે હોટલમાં વધુ રોકાઇ શકે તેમ નહોતા, તેમની ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી શકતાં નહોતા. બીજી એવી કેટેગરી હતી. જેમાં 30 જણાંનું તેમજ 50 જણાંનું ગ્રુપ હતું. 2-4 જણાં મલ્ટિ મીલિયોનર હતા પરંતુ તેમના મિત્રો એફોર્ડ કરી શકતા નહોતા. તે લોકો અહીંયા ટેન્ટમાં રહેવા આવ્યા હતા. 'મલ્ટિ મીલિયોનર લોકોએ ઇન્ડિયા રિટર્ન જવાની ફ્લાઇટનું બૂકિંગ ના કરાવ્યું કે ન તો તેઓ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા. તેમની પાસે પૈસા હતા. તેમના ઘરના લોકોનું દબાણ પણ હતું કે તમે આવી જાવ, અમે તમારા માટે ચાર્ટર્ડ ફલાઇટ કરાવીએ છીએ પણ તેમણે તેમના મિત્રો સાથે જ રહેવાનું પસંદ કર્યું.' ધીરજ જૈને કહ્યું કે,મેં પર્સનલી એક જણાંને રોકડમાં મદદ કરી છે. કેટલાક લોકોએ પણ પોતાની રીતે બીજા લોકોને મદદ કરી હતી. ભારતનો અમીર પરિવાર મિત્રો સાથે અહીં ફરવા આવ્યો હતો. જેમાંથી 4-5 લોકોની ટિકિટ બાકી હતી તો આ પરિવારે તેમની ટિકિટ કરાવી દીધી હતી. લોકોએ રડતાં-રડતાં વિદાય લીધીઅહીં 4 લોકો એવા આવ્યા હતા જે 11-12 દિવસ તો પોતાની રીતે હોટલમાં રોકાયા પણ પૈસા પૂરા થઇ જતાં તેમને ઇન્ડિયન એમ્બેસીએ ધીરજ જૈનનો નંબર આપ્યો હતો. અહીંથી જતી વખતે લોકોએ ભીની આંખે વિદાય લીધી હતી. તેઓ જણાવે છે કે, ઘણા લોકો જતાં રહ્યાં છે. જતી વખતે ઘણાં લોકો રડતાં રડતાં ગયા છે. હું મારા શબ્દોમાં તેને વર્ણવી ન શકું. તે લોકોએ અમને ભગવાન જેવા ગણાવ્યા, દેવદૂત કહ્યાં પણ અમે બહુ નાના છીએ. આ રીતની ઉપમા અમારે જોઇતી નથી. અહીંયા જે પરિવાર રહ્યાં હતા. તે ઇન્ડિયામાં અમારા બાળકોના લગ્નમાં તો આવશે જ. બધાંએ અમને એવું પણ કહ્યું છે ભારત આવો તો એક મિનિટ માટે પણ અમારા ઘરે આવવાનું છે. ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર બ્લાસ્ટ થયો હતોઆ ફાર્મ હાઉસથી 17 કિલોમીટર દૂર ફૂઝેરામાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેની તીવ્રતા એટલી હતી કે ફાર્મ હાઉસની જમીન હલી હોય તેવો અનુભવ થયો હતો. જોરદાર અવાજ પણ સંભળાયો હતો. ધીરજ જૈન કહે છે કે, અહીંયા કોઇ હુમલો થયો નથી કે ફાર્મ હાઉસને પણ કોઇ નુકસાન થયું નથી. અમે વ્યક્તિગત કશું જોયું નથી પણ અહીંયા જે લોકો આવ્યા તેમાંથી ઘણાં લોકોએ મિસાઇલ અને ડ્રોનનો હુમલો જોયો હતો. અમે જુમેરામાં ઘરે હતા ત્યારે ગેલેરીમાંથી ડ્રોન હવામાં પસાર થતાં જોયાં હતા. ફટાકડાં ફૂટતાં હોય તેવા અવાજો અમે ઘણાં સાંભળ્યાં હતા. મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા ગોવિંદસિંહ રાજપૂત આ ફાર્મ હાઉસમાં રોકાયા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાનો અનુભવ જણાવ્યો હતો. AIએ ધીરજ જૈનનો નંબર આપ્યોગોવિંદસિંહ કહે છે કે, હું અહીંયા ફરવા અને મિત્રોને મળવા આવ્યો હતો. હુમલા બાદ મારી ટિકિટ કેન્સલ થઇ ગઇ હતી. જેથી હું પરેશાન થઇ ગયો હતો. મેં ગૂગલમાં ધીરજ જૈનનો નંબર સર્ચ કર્યો તો AIએ મને સીધો જ તેમનો નંબર આપી દીધો. મેં તેમને ફોન કર્યો તો તેમણે લોકેશન આપીને અહીં આવી જવા માટે કહ્યું હતું. મેં ટેક્સી બૂક કરાવી હતી. મારી પાસે વધારે પૈસા નહોતા પણ ટેક્સીવાળો 45 દિરહામ લઇને મને અહીં ફાર્મ હાઉસ પર ઉતારી ગયો હતો. ગોવિંદસિંહ જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચ્યા ત્યારે ધીરજ જૈને તેમને રૂમ આપ્યો હતો, ખાવા-પીવાનું અને વાઇફાઇ પણ આપ્યું હતું. તેઓ કહે છે કે, અહીં મને બધી સુવિધા પૂરી મળી હતી. માનસિક, શારીરિક અને આર્થિક એમ બધી રીતે અમે બહુ હેરાન થઇ ગયા હતા. અહીંયા આવીને રાહત મળી છે. ગોવિંદસિંહે અટવાયેલા લોકોને ધીરજ જૈનનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે.તેમણે કહ્યું કે, અહીંયા ફક્ત ભારતીયોને જ નહીં પરંતુ અન્ય દેશના લોકોને પણ આશ્રય અને સુવિધા મળી રહ્યાં છે. ધીરજ જૈન બહુ સારું કામ કરી રહ્યાં છે. આ તો મારું સૌભાગ્ય છે કે એક દિવસ પહેલાં જ મે તેમનો વીડિયો જોયો હતો. તેમના વિશે જાણવા મળ્યું હતું. નહીં તો હું અહીંયા સુધી પહોંચી શક્યો નહોત. મેં ફેસબૂક પર વીડિયો બનાવીને નાંખ્યો છે કે જે લોકો અહીં અટવાયેલાં છે તે લોકો સંપર્ક કરે. અહીંયા ખાવા, પીવાનું તો ઠીક પણ કોઇ કહે કે ફરવા માટે ગાડી જોઇએ છે તો તે પણ આપે છે. હું તેમનો દિલથી આભાર માનું છું.
એક તરફ ગેસના બાટલાની અછત સર્જાઈ રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોધિકા તાલુકાના પારડી ગામે શીતળા મંદિર ચોક પાસે સોનુ ગેસ એજન્સી એન્ડ રિપેરિંગ નામની દુકાનમાંથી શાપર પોલીસે કાળાબજાર કરવા સંગ્રહ કરેલા એલ.પી.જી. ગેસના ભરેલા બાટલાઓ, નળી, રેગ્યુલેટર, વજનકાંટો સહિતની કુલ રૂ.80600ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ બિહારના અને રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં રહેતો રવિરંજન કમલકિશોર બિંદ અને રાજીવ કમલકિશોર બિંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસને મળેલી બાતમી અનુસાર પારડી ગામે શીતળા માતાજીના મંદિર નજીક આવેલી એક દુકાનમાં ગેસ એજન્સીના નિયમોનો ભંગ થતો હોય, દુકાનમાં ગેસ એજન્સી અને રિપેરિંગનું બોર્ડ મારેલું હોય પણ અંદર કોઈ પણ જાતના લાઇસન્સ વગર લોકોની જિંદગી જોખમાઈ એ રીતે ગેસના બાટલા રીફિલ કરવાનું કામ શરૂ હતું. જે બાતમીના આધારે રૂબરૂ જોઈ તપાસતા પોલીસે દુકાનના માલિક રવિરંજન અને રાજીવની પૂછપરછ કરતા તેઓની પાસે કોઈ પણ જાતનું લાઇસન્સ ન મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનમાંથી પોલીસે એલપીજીના 15 કિ.ગ્રા.ના 6 નંગ બાટલા, 4 કિ.ગ્રા.ના 7 નંગ બાટલા, 7 નંગ ખાલી બાટલા, એલ.પી.જી.ના 3 કિ.ગ્રા.ના 34 નંગ બાટલા, ખાલી બાટલા 34 નંગ, ઈલેક્ટ્રિક વજનકાંટો, ગેસ રિપેરિંગ કરવા માટેની નળીઓ, રેગ્યુલેટર બાદમાં નજીકની બીજી દુકાનમાં જોવા જતા 15 કિ.ગ્રા.ના 9 નંગ બાટલા, 12 કિ.ગ્રા.ના 3 નંગ બાટલા, 19 કિ.ગ્રા.નો 1 નંગ બાટલો, 4 કિ.ગ્રા.ના 6 નંગ ભરેલા બાટલા, 5 કિ.ગ્રા.ના ખાલી 9 નંગ બાટલા એમ કુલ ખાલી અને ભરેલા 116 જેટલા બાટલા કબજે કરી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પીએનજી ઉપયોગકર્તાને એલપીજી સિલિન્ડર આપવું ગુનો બનશેકેન્દ્ર સરકારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, તા.14 માર્ચથી કોઇપણ ગેસ એજન્સી સંચાલક પીએનજી ઉપયોગકર્તાને એલપીજીનું સિલિન્ડર આપશે તો હવે લેનાર અને વેચનાર બંનેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ એજન્સીના સંચાલકોને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત એજન્સીઓમાં ચેકિંગ પણ કરવામાં આવશે. રી-ફિલિંગ કરતા તત્ત્વો પર પણ નજર રાખવામાં આવશે. પુરવઠા વિભાગ ઉપરાંત પોલીસને પણ તાકીદ કરવામાં આવી છે કે, યુદ્ધની સ્થિતિ છે ત્યારે એલપીજી ગ્રાહકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સમયાંતરે ચેકિંગ કરવું તેમજ રી-ફિલિંગ સંદર્ભે પણ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
વેધર રિપોર્ટ:હીટવેવ એલર્ટ વચ્ચે તાપમાનમાં પાંચ દિવસમાં 5 ડિગ્રીનો ઘટાડો
સૌરાષ્ટ્રમાં હીટવેવના એલર્ટ વચ્ચે વાતાવરણમાં પલટો આવતા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, સાથે જ આગામી તા.18 અને 19મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે ટર્ફ ગુજરાત તરફ લંબાયું છે. જેને પગલે આગામી તા.18ના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમજ તા.19ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, તા.8 માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયા બાદ તા.12 માર્ચ સુધી સતત હીટવેવની સ્થિતિ વચ્ચે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. સાથે જ લઘુતમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી જેટલો વધારો થયો હતો. ઊંચું તાપમાન કમોસમી વરસાદને ખેંચી લાવ્યુંરાજ્યમાં તા.18 અને 19ના રોજ કમોસમી વરસાદની આગાહી અંગે ભાસ્કર એક્સપર્ટ પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, તા.9થી 14 દરમિયાન હીટવેવ કન્ડિશનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટર્ફ સૌરાષ્ટ્ર સુધી લંબાયો હોવાથી ઉંચા તાપમાનના કારણે કેશાકર્ષણને કારણે કમોસમી વરસાદની સ્થિતિ ઊભી થઇ છે. જેમાં તા.18 અને 19 માર્ચે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં વરસવાની શક્યતા વચ્ચે કેટલાક સ્થળોએ બેથી પાંચ મીમી વરસાદ વરસી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
રાજકોટની પોક્સો અદાલત દ્વારા 7 વર્ષની બાળકી પર શારીરિક શોષણ અને બીભત્સ સામગ્રી બતાવવાનો આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયાને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા સાથે જ, ભોગ બનેલી બાળકીને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 6-3-2021ના રોજ એક મહિલાએ ફરિયાદ લખાવેલ કે, તેમની સાત વર્ષની બાળકી મોબાઈલમાં બીભસ્ત ફોટા વીડિયો જોતી હોય ત્યારે તેણી જોઈ જતા બાળકીને પૂછતા કે તું શું કરે છે તો બાળકીએ જણાવેલ કે તેમની બાજુમાં રહેતા અને જેને મામા તરીકે સંબોધતા અલ્પેશ વાલજીભાઈ લાણિયાએ આવું જોવાનું શીખવાડેલ છે અને તેને ડિલીટ કરવાનું શીખવાડેલ છે. વધુમાં બાળકીએ એવું પણ જણાવેલ કે, તેણી જ્યારે રમતી હોય ત્યારે બાજુમાં રહેતા અલ્પેશ મામા તેણીને તેના ઘરમાં લઈ જઈ તેણીની ઉપર સૂઈ જઈ તેણીના શરીરે હાથ ફેરવી શારીરિક અડપલાં કરતા હતા. જેના પગલે બાળકીની માતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ વાલજીભાઈ લાણિયા (રહે. વાવડી ગામ પાસે, ઓમ સુપર માર્કેટ પાછળ, મૂળ રહે.ચુડા જિલ્લો સુરેન્દ્રનગર) વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે આરોપી અલ્પેશ લાણિયાની ધરપકડ કરી જેલહવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ ચાલી જતા સરકારી વકીલ મુકેશ પીપળિયા દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી હતી. આ કામના ભોગ બનનાર 7 વર્ષની બાળકીની વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરમાં જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત તબીબ અને તપાસનીશ અધિકારીની જુબાની લેવાઇ હતી. આમ સરકાર પક્ષે રજૂ કરેલા આધાર-પુરાવાઓ ધ્યાને લઇ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટએ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા કરી છે અને ભોગ બનનાર બાળકીને વિક્ટિમ કમ્પોઝિશન અન્વયે રૂપિયા બે લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
સન્ડે બિગ સ્ટોરી:જ્યાં એક પણ બસ જતી નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવાયા!
રાજકોટ નજીક સ્માર્ટ સિટી બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં અંદાજે 2500 કરોડનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. અટલ નામનું સરોવર પણ બનાવવામાં આવ્યું છે. અટલ સરોવર અને તેને જોડતા મુખ્ય માર્ગો પર સ્માર્ટ બસ સ્ટેન્ડ બનાવાયા છે. કુલ 15 બસ સ્ટેન્ડ સાડા ચાર કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. વર્ષ 2022-23માં બસ સ્ટેન્ડ બનાવવાનું શરૂ થયું હતું. માર્ચ-2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સ્માર્ટ સિટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 1 મે 2024ના રોજ લોકો માટે 15 બસ સ્ટેન્ડ ખુલ્લા મુકાયા હતા. હવે મહત્ત્વની વાત એ છે કે, સાડા ચાર કરોડના ખર્ચે બનાવાયેલા 15 બસ સ્ટેન્ડમાંથી છેલ્લા પોણા બે વર્ષમાં કરોડો રૂપિયાનો કિંમતી માલસામાન ચોરાઇ ગયો છે અથવા તો તૂટી-ફૂટી ગયો છે. સૌથી વિશેષ વાત એ છે કે, બસ સ્ટેન્ડ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે ત્યાં લોકોને બસની સુવિધા મળે. જો કે મનપાના જ અધિકારીઓ કહે છે કે, અહિંયા હજુ સુધી (અમુક બસ સ્ટેન્ડને બાદ કરતા) સિટી બસ જતી નથી છતાં બે વર્ષ પહેલાં જે બસ સ્ટેન્ડ બનાવાયા તેનો અત્યારે તો રાત્રિના સમયે દારૂ-બીયર પીવાવાળા લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત જેટલી વસ્તુ બસ સ્ટેન્ડમાંથી કાઢી શકાઇ તેમ હતી તેટલી કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાની દેખરેખ હેઠળ પૂરો થયો હતો. જો કે હાલ આ બસ સ્ટેન્ડની હાલત પણ પૂર્વ જેવી એટલે કે નિવૃત્ત થઇ ગયા હોય તેવી થઇ ગઇ છે. બીયરના ટીનના ઢગલાં છે અને રેલિંગ ચોરાઇ ગઇ તમામ બસ સ્ટેન્ડના દરવાજા પણ તૂટી ગયા છે અથવા તો તોડી નાખવામાં આવ્યા છે. સ્લાઇડર ડોરની હાલત ભંગાર જેવી થઇ ગઇ છે તેનો ઉપયોગ કરવો પણ હવે અશક્ય છે. લોકો શહેરમાં રહે છે, સુવિધા બારોબાર અપાઇ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બસ સ્ટેન્ડની અંદર સરસમજાની સીલિંગ ટાઇલ્સ નાખવામાં આવી હતી. જો કે તમામ બસ સ્ટેન્ડમાંથી અડધોઅડધ સીલિંગ ટાઇલ્સ ચોરાઇ ગઇ છે અથવા તો તોડી નાખવામાં આવી છે, સાઇડની જારી પણ અમુક બસ સ્ટેન્ડમાંથી ચોરી થઇ ગઇ છે. તૂટેલા દરવાજા અને ફૂટેલા સ્લાઇડર ડોર બસ સ્ટેન્ડની બાજુમાં લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી જે આખેઆખી ગાયબ થઇ ગઇ છે. બસ સ્ટેન્ડ દારૂડિયાનો અડ્ડો હોય તેમ બીયરના ટીન અને અસંખ્યા ખાલી બોટલો પડી છે. સન્ડે બિગ સ્ટોરી
સગીરે સર્જ્યો જીવલેણ અકસ્માત:13 વર્ષના સગીરે ટુવ્હીલર ચલાવીને બાળકી-વૃદ્ધને ટક્કર મારી, વૃદ્ધનું મોત
દાણીલીમડામાં 13 વર્ષીય સગીરે પૂરપાટ ઝડપે ટુવ્હીલર ચલાવી સોસાયટીમાં રમતી 4 વર્ષની બાળકી અને ઘરના દરવાજે પહોંચેલા વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું જ્યારે બાળકીને દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ હતી. દાણીલીમડાની શક્તિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત નૂરમોહમદ (68) 13 માર્ચે રાતે નમાઝ અદા કરી ઘરે આવતા હતા, ઘરના દરવાજે પહોંચ્યા ત્યારે એક ટુવ્હીલર ચાલકે પુરપાટ ઝડપે આવીને તેમને ટક્કર માર્યા પછી ત્યાં રમતી 4 વર્ષીય ફાતીમાને પણ ટક્કર મારી હતી. લોકો ભેગા થઈ જતાં ચાલક ફરાર થઈ ગયો હતો. નૂરમોહમદ અને ફાતિમાને હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરે નૂરમોહમદને મૃત જાહેર કર્યા હતા. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર 13 વર્ષીય સગીર હોવાથી તેના પિતા સામે ગુનો નોંધ્યો છે. ટુવ્હીલર જમાલપુરમાં રહેતા અને મજૂરીકામ કરતા શાહફેઝલ કુરેશીનું હતું. તેઓ મજૂરીકામે ગયા ત્યારે 13 વર્ષીય દીકરાએ ટુવ્હીલર પર નીકળી અકસ્માત કર્યો હતો. બીજા બનાવમાં સોલામાં રહેતા પારસ ગોહિલ 17 જાન્યુઆરીએ પરિવાર સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. રાતના સમયે સતાધાર ચાર રસ્તા સિગ્નલ બંધ હોવાથી ઊભા હતા ત્યારે ઓવરસ્પીડે આવેલી ટ્રકે કાર તથા બીજાં બે વાહનને ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો. આ મામલે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં ટ્રક માલિક મહેન્દ્રસિંહ ચૌહાણ (40, રહે. ભાડજ) હોવાનું જણાયું હતું. તેમણે 17 વર્ષીય સગીરને ટ્રક ચલાવવા આપતા તેણે અકસ્માત કર્યો હતો. જેથી પોલીસે મહેન્દ્રસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ગુજરાતમાં રોજ એક માર્ગ અકસ્માતનું કારણ સગીરકેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, 2023 અને 2024માં રાજ્યમાં 727 અકસ્માત 18 વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં 11890 અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં 2063 અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી મુજબ, રાજ્યમાં 2022 અને 2023 દરમિયાન 18 વર્ષથી નાના 893 એટલે કે વર્ષે સરેરાશ 446 યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીરના ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં 44 લાખ, છત્તીસગઢમાં 1.30 લાખ, દિલ્હીમાં 44 હજાર, જમ્મુ કાશ્મીરમાં 1.36 લાખ, ઉત્તરાખંડમાં 1.05 લાખ, ઉત્તર પ્રદેશમાં 23 હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે. પરંતુ આ અંગે ગુજરાત વિશે કોઈ માહિતી નથી. કેન્દ્ર સરકારે ઇન્ટીગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ ((iRAD) સિસ્ટમમાંથી આ માહિતી આપી છે.
લ્યો બોલો!:શહેરમાં AMTSની 800 પૈકી 41 બસ રોજ બ્રેકડાઉન થાય છે
શહેરમાં એએમટીએસ બસ છેલ્લા 5 વર્ષમાં જ 77460 વખત ખોટકાઇ છે અથવા તો વિલંબથી ચાલી છે. 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસ પાછળ રૂ. 3069.87 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ એએમટીએસની બસો વારંવાર ખોટકાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં સતત પ્રતિ વર્ષ બ્રેકડાઉનની સંખ્યા વધે છે. નોંધનીય છેકે, એએમટીએસ પાસે 800થી વધારે બસો છે જે અત્યારે રસ્તા પર દોડી રહી છે. રોજની 41 બસો બ્રેકડાઉન થઇ રહી છે. જે બીઆરટીએસમાં આ સંખ્યા રોજની 61 બસની છે. એએમટીએસમાં રોજના 5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ બસોની ફ્રીક્વન્સી તેમજ તેની ઝડપ સહિતની ગુણવત્તા સુધારવા પર યોગ્ય ભાર આપવામાં આવ્યો નથી. 5 વર્ષમાં કેટલી બસ બ્રેકડાઉન? AMTS હવે કોન્ટ્રાક્ટર માટે જ છેAMTS મુસાફરો માટે નહીં માત્ર કોન્ટ્રાક્ટરો માટે ચાલે છે. વારંવાર બસો વિલંબિત ચાલે છે કે પછી બ્રેકડાઉન થાય છે. બસમાં આગ લાગવાની ઘટના બને છે. જે ગંભીર બાબત છે - શહેજાદખાન પઠાણ (પૂર્વ વિપક્ષ નેતા, મ્યુનિ.)
છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વીમા પોલિસીના બહાને વૃદ્ધ સાથે 19.05 લાખની છેતરપિંડી આચરી
સોલા સાયન્સસિટી સુકન મોલ પાસેના સપ્તક બંગલોઝમાં રહેતા ભોગીલાલ કિશોરદાસ પટેલ(75) ઉપર 2022માં કેટલીક વીમા પોલિસીની ઈન્કવાયરી કરવા એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી ફોન આવ્યા હતા. જેમાં તેમણે નવી વીમા પોલિસી ઉતારવા માટે જણાવ્યું હતું. જેથી ભોગીલાલે હા પાડતા તેમણે એક મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ લોકેશ શર્માનો ફોન આવ્યો હતો અને તેણે પોલિસીના ફાયદા અંગે સમજણ આપી હતી. ભોગીલાલે વીમા પોલિસી લેવા માટે સંમતિ આપતા પોલિસીનો ચેક લેવા માણસને ઘરે મોકલ્યો હતો. જેણે કેવાયસી અપડેટ કરવા આધાર કાર્ડ, ફોટા સહિતની માહિતી, રૂ.1 લાખનો ચેક તેમજ જીએસટી સાથેનો ચેક આપ્યો હતો. ત્યારબાદ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની વીમા પોલિસી અને પૈસા ભર્યાની રશીદ પોસ્ટ મારફતે ભોગીલાલના ઘરે આવ્યા હતા. જ્યારે એપ્રિલ-2023માં અજાણ્યા નંબરથી ભોગીલાલને ફોન આવ્યો હતો. જેમાં પંકજ શર્મા બરોડા ઓફિસમાંથી બોલતો હોવાનું કહી સીતારામ શર્માનો ફોન આવશે તેવી વાત કરતા તેણે સરકારના વીમા સલાહકાર અને મોટા અધિકારી તરીકે ઓળખાણ આપીને તેઓ અનક્લેઈમ વીમાની રકમના ચાર્જમાં હોવાની વાત કરી હતી. તમારા નામે રિઝર્વ ફંડમાં વીમાની રમક હોવાથી રૂ.25 લાખ અપાવીશ તેમ કહ્યું હતું. પહેલા રકમની 10 ટકા ભરવી પડશે. તેવીને તેમના પીએ મનીશભાઈ વાત કરશે તેવું કહીને મનીશભાઈનો નંબર આપ્યો હતો. મનીશભાઈએ ભોગીલાલ સાથે વાત કરીને આઈપીઓમાં રોકાણથી મહિને13 હજાર પેન્શન આપવાની વાત કરી હતી. જેમાં ભોગીલાલ સંમત થતા તેમણે 8 મહિના સુધી ભોગીલાલને રૂ.13 હજાર પેન્શન ખાતામાં જમા કરાવ્યું હતું.
આજથી સૂર્યની મીન સંક્રાંતિ:અંતિમ રાશિ મીનમાં સૂર્યના ભ્રમણથી નેત્રરોગ વકરે, કેન્સરના દર્દીઓ વધે
રવિવાર ને 15 માર્ચે રાત્રે 01.04 વાગ્યે ગ્રહમંડળના રાજા સૂર્ય રાશિચક્રની અંતિમ બારમી રાશિ મીનમાં પ્રવેશ કરશે. સૂર્યના આ પ્રવેશને મીન સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી મીનારક કમૂરતાંનો પણ આરંભ થશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર મીન જળ તત્ત્વની, બેકી રાશિ અને રાશિચક્રની બારમી રાશિ છે, જેની પગનાં તળિયાંની ગણના થાય છે. નૈસર્ગિક કુંડલી મુજબ બારમો ભાવ જેલ, હૉસ્પિટલ સાથે ભક્તિભાવ માટે ગણાય છે. મીન રાશિમાં સૂર્યના ભ્રમણથી રાજા સમાન વ્યક્તિ આ સમયમાં જેલયાત્રા સંભવ સાથે બીમાર પડતાંની સાથે જ આઇસોલેશન થાય તેવા યોગ રચાઈ શકે છે. સાથે જ નેત્રરોગો વકરે તેવા યોગ સર્જાઈ શકે છે. મીન સંક્રાંતિની આ રાશિના જાતકો પર શુભાશુભ અસર
ઘરના ખૂણામાં પડી રહેતી પસ્તી પણ અભાવગ્રસ્ત લોકોની મદદમાં ઉપયોગી થઈ શકે છે. આ વાત અર્હમ યુવા સેવા ગ્રુપે સાર્થક કરી બતાવી છે. આ ગ્રુપ 13 વર્ષથી શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી પસ્તી એકઠી કરે છે અને તેને વેચીને મળતી રકમમાંથી જરૂરિયાતવાળાં બાળકોને પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી જેવી વસ્તુઓ આપે છે. અત્યાર સુધીમાં 91 હજાર કિલો જેટલી પસ્તી એકત્ર કરીને વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી છે. ગ્રૂપના જસ્મિન શાહે કહ્યું હતું કે રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી વર્ષ 2013માં અર્હમ યુવા સેવા ગ્રુપ શરૂ કરાયું હતું. 50થી વધુ યુવાન દર મહિને 2 રવિવારે શહેરના વિવિધ સોસાયટીઓમાંથી પસ્તી એકત્ર કરે છે. ત્યાર પછીના બે રવિવારે માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરે છે. 13 વર્ષમાં 91 હજાર કિલોથી વધુની પસ્તી એકત્ર કરીને વિવિધ વિસ્તારોનાં બાળકોને મદદ કરાઈ છે. એપ્રિલમાં પસ્તી સે પુસ્તક મહા અભિયાનગ્રુપ દ્વારા 1થી 30 એપ્રિલ સુધી ‘પસ્તી સે પુસ્તક’ મહા પસ્તી અભિયાન આદરાશે. ગ્રુપના યુવાનો વિવિધ વિસ્તારોમાં પસ્તી એકત્ર કરશે અને તેની રકમમાંથી અનેક બાળકોને શિક્ષણ સહાય અપાશે. ગયા વર્ષે મહા પસ્તી અભિયાનમાં આશરે 2800 કિલો પસ્તી એકત્ર કરાઈ હતી. અને જેના દ્વારા વિવિધ શાળામાં સ્ટેશનરી, ગણવેશ, સ્ટડી ટેબલનું વિતરણ કરાયું હતું. પસ્તીનું દાન કરવા માગતા લોકો વોટ્સ અપ 9898010902, 9136442490 પર સંપર્ક કરી શકશે.
પેપર રિવ્યુ:કમ્પ્યુટરના જાવાના 3 પ્રશ્નોના વિકલ્પોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
જીએસઈબીની ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શનિવારે કમ્પ્યુટર વિષયની અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં પેપર સેટ નંબર(એ)માં ત્રણ માર્કસના 56, 82 અને 83 જાવાના પ્રકરણ આધારિત ત્રણ પ્રશ્નોમાં જવાબ રુપે દર્શાવાયેલા એકથી વધુ વિકલ્પો સાચા હોવાથી વિદ્યાર્થીઓને કયો જવાબ લખવો તેને લઈને મૂંઝવણ થઈ હતી તેમ કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદારે જણાવ્યું હતું. આ અંગે વાલીઓ શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરશે. 100 માર્કસનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહ્યું હતું. અંગ્રેજી માધ્યમના પ્રશ્ન નંબર - ૮૩In Java, if we want to allow other methods to modify the data value, we should use __ method . (A) અને (D) બંને જવાબ શક્ય છે પ્રશ્ન નંબર - ૮૨Which of the following operators creates an object and returns its references?માં જવાબ તો new એટલે કે (B) વિકલ્પ આવે પણ પ્રશ્ન માં operators (ગુજરાતીમાં જેને પ્રક્રિયક કહેવાય) પણ New ખરેખર તો કમાન્ડ કહેવાય પ્રક્રિયક ના કહેવાય. એટલે અહીંયા વિધાર્થીઓ ને પ્રશ્નમાં મૂંઝવણ થવી સ્વાભાવિક છે. પ્રશ્નપત્ર નંબર - ૫૬ In object oriented programming, the one which describes various characteristics of an object, is also known as _ માં જવાબ ટેક્સબુક પ્રમાણેProperty અને Attribute બંને સાચા છે.(કમ્પ્યુટર વિષય નિષ્ણાત સંજય કામદાર(એસ કે)ના જણાવ્યાં પ્રમાણે)
ભાસ્કર એક્સક્લુસિવ:વિવિધ છોડનાં પાનના રોગ શોધવા, માર્ગદર્શન માટે ‘હરિત રક્ષક’ એપ્લિકેશન ડિઝાઈન કરાઈ
આંબાવાડીની સરકારી પોલીટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડના પાનમાં થતા રોગોની ઓળખ કરતી, માર્ગદર્શન આપતી ‘હરિત રક્ષક’(Haritrakhshak) નામની નવીન એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત રસિકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. આ એપ આઈસી ડિપાર્ટેમેન્ટના અધ્યાપક ડૉ. શ્રીજી ગાંધીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ સુજય પટેલ, જનિલ મિસ્ત્રી, દક્ષ પટેલ, તુષાર પંચાલ અને સુમુખ પટેલે તૈયાર કરી છે. વિશાળ ડેટાસેટના ઉપયોગથી તૈયાર આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. આંતરરાષ્ટ્રીય જર્નલના અભ્યાસ બાદ એપ બનાવાઈવિવિધ આતંરરાષ્ટ્રીય જર્નલનો અભ્યાસ કરતા મને જાણવા મળ્યું કે એગ્રિકલ્ચરમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં વિવિધ રોગો થાય છે. જેના કારણે ખેડૂતો અને બાગાયતી કામ કરનારા લોકોને વિવિધ વનસ્પતિઓને લગતું માર્ગદર્શન આપવા માટે આ એપ ડિઝાઈન કરી છે.’ -ડૉ. શ્રીજી ગાંધી, પ્રોફેસર,આઈસી ડિપાર્ટન્ટ, સરકારી પોલીટેકનિક, 7,000થી વધુ પાનના ફોટા પરથી તાલીમહરિતરક્ષક એપ માટે લગભગ 7,000થી વધુ પાનના ફોટોગ્રાફ્સનો ડેટાસેટ તૈયાર કરી 10 GBથી વધુ ટ્રેઇન્ડ મોડ્યુલ્સનો ઉપયોગ કરીને પાનનું વિશ્લેષણ કરાય છે. યૂઝર પાનનો ફોટો સ્કેન કે અપલોડ કરે ત્યારે એપ ડેટાસેટ સાથે સરખામણી કરીને રોગની ઓળખ કરે છે. એપ શું માહિતી આપે છે?

31 C