SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

પોરબંદરમાં દરિયાકિનારે જન્નત જેવી મોજ, 3ડી વીડિયો:બાપૂના વતનમાં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે ગઝેબો અને બીચ વોલીવોલનું આકર્ષણ; રતનપરમાં ‘જન્નત બીચ’નું ₹1.10 કરોડનું ટેન્ડર

પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા આ શહેરમાં વિકાસે ગતિ પકડી છે. મનપા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલા 'જન્નત બીચ'ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ₹1.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને ગુજરાતના પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે 10 ગઝેબો અને બીચ વોલીવોલ પર્યટનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓઆ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, 'ફર્ન હોટલ' સામેના દરિયાકાંઠાને આધુનિક પ્રવાસન કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવશે. આ વિકાસ કાર્યમાં અવનવી સુવિધાઓનો સમાવેશ થાય છે: આધુનિક ગઝેબો: પ્રવાસીઓના વિશ્રામ માટે બીચ પર અંદાજે 10 જેટલા આધુનિક ગઝેબો બનાવવામાં આવશે. લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ: બીચની સુંદરતા વધારવા માટે આકર્ષક લેન્ડસ્કેપિંગ (હરિયાળી) અને રાત્રિના સમયે પ્રવાસીઓને આકર્ષવા માટે અત્યાધુનિક લાઈટિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે. સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ: યુવાનો અને રમતપ્રેમીઓ માટે બીચ વોલીબોલ જેવી સુવિધાઓ ઊભી કરાશે, જેથી પ્રવાસન સાથે મનોરંજન અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. વહીવટી પ્રક્રિયા અને અમલીકરણમહાનગરપાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આ બીચ આગામી સમયમાં શહેરની એક મહત્વપૂર્ણ ઓળખ બનીને ઉભરશે. રોજગારી અને પ્રવાસનને વેગઆ વિકાસ કાર્યથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાશે. પોરબંદરમાં અત્યાર સુધી પ્રવાસીઓ માટે મુખ્યત્વે ચોપાટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો, પરંતુ હવે રતનપર બીચના રૂપમાં વધુ એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ મળશે. પાલિકા તંત્રના મતે, આ પ્રોજેક્ટથી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:59 pm

વલસાડમાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:વિવિધ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, પોલીસ સાથે ઝપાઝપી થતાં અનેક કાર્યકરોની અટકાયત

વલસાડ જિલ્લામાં ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને તેની અછતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો ખાલી ગેસ સિલિન્ડર માથા પર રાખીને અને હાથમાં સરકાર વિરોધી બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે મોંઘવારી અને ગેસની અછત સામે સૂત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિરોધ વધુ તીવ્ર બનતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે કાર્યકરોને બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં અનેક અગ્રણીઓ સહિત ઘણા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર મોટો બોજ આવ્યો છે. ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે અને બજારમાં અછત છે. તેમણે જણાવ્યું કે, લોકોના પ્રશ્નો ઉઠાવતા વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ગેસ મુદ્દે રાજકીય ગરમાવો વધાર્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિરોધ પ્રદર્શનો જોવા મળે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:58 pm

સોમનાથમાં રામ મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી:ટ્રસ્ટ દ્વારા મહાપૂજા, આરતી, સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના રોજ શ્રીરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાની હેઠળ નૂતન રામ મંદિર ખાતે દિવસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રીરામ પ્રભુની મહાપૂજા, ધ્વજા પૂજા અને મધ્યાહને શ્રીરામ જન્મોત્સવની મહાઆરતીનો સમાવેશ થાય છે. મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. સાંજના સમયે શ્રી રામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, શ્રીરામને વિશેષ અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે શ્રીરામ પ્રભુની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો અને બહારથી પધારેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ સાથે જ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને 'શ્રીરામ દર્શન શૃંગાર' કરવામાં આવ્યો હતો. આ શૃંગાર દ્વારા શ્રીરામ અને શિવજીના પરસ્પર સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પુરાતન પુસ્તકો અનુસાર, પ્રભુ શ્રીરામ પિતૃ તર્પણ માટે પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા. શાસ્ત્રોમાં રામ અને શિવજીના અભિન્ન સંબંધનું વર્ણન છે, જેમ કે 'રામસ્ય ઈશ્વરઃ યઃ સઃ રામેશ્વરમ્' અને 'રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ રામેશ્વરમ્'. આ શૃંગાર દ્વારા શિવજીમાં શ્રીરામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:54 pm

હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન યાર્ડ બે દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે, 1 એપ્રિલથી ખરીદી શરૂ થશે

માર્ચ એન્ડિંગને કારણે હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 30 અને 31 માર્ચના રોજ બે દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેત પેદાશોની ખરીદી અને વેચાણની કામગીરી સ્થગિત રહેશે. માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને આ બે દિવસ દરમિયાન તેમની ખેત પેદાશો વેચાણ માટે ન લાવવા જાણ કરવામાં આવી છે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ હિસાબો અને વહીવટી કાર્યને કારણે લેવામાં આવ્યો છે. સામાન્ય ખેત પેદાશોની ખરીદી 1 એપ્રિલ, બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. ખેડૂતો તે દિવસથી પોતાની જણસી વેચાણ માટે લાવી શકશે. હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી 2 એપ્રિલ, ગુરુવારથી શરૂ થશે. તમાકુ વેચવા ઈચ્છતા ખેડૂતોએ પોતાની જણસી હિંમતનગરના સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટયાર્ડમાં લાવવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:52 pm

સગીરને બાઇક આપનાર પિતાને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન:માંગરોળમાં સગીર પાસે બાઇક ચલાવડાવવું પિતાને ભારે પડ્યું; સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી

આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. પરંતુ જૂનાગઢના માંગરોળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર સંતાનને બાઇક ચલાવવા આપી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ માંગરોળ પોલીસે ત્વરિત એક્શન લીધા છે અને સગીરના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં એક નાનો સગીર બાળક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તા પર પુરપાટ ઝડપે બાઇક ચલાવતો નજરે પડતો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા માંગરોળ પોલીસ હરકતમાં આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે સગીર વયના બાળકોને વાહન ન આપવું, તેમ છતાં આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. ​વાયરલ વીડિયોના આધારે માંગરોળ પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે બાઇક નંબર અને બાળક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, જે બાળક બાઇક ચલાવી રહ્યો હતો, તેને તે બાઇક તેના પિતાએ જ ચલાવવા માટે આપી હતી. ​પોલીસે તુરંત કાર્યવાહી કરતા સગીરના પિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધી પિતા સામે લાલ આંખ કરી છે. સગીરને વાહન આપવું એ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ બાળકના અને રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકવા સમાન છે. ​ધરપકડ બાદ પોલીસે સગીરના પિતાને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સગીર વયના બાળકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોતું નથી અને તેઓ માનસિક કે શારીરિક રીતે મોટા વાહનો ચલાવવા માટે સક્ષમ હોતા નથી. આવા કિસ્સામાં અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નવા ટ્રાફિક નિયમો મુજબ, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય, તો વાહન માલિક અથવા વાલી સામે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ છે.​માંગરોળની આ ઘટના વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. અનેક વાલીઓ પોતાના બાળકને વહેલું વાહન શીખવાડવાના મોહમાં કે વટ પાડવા માટે બાઇક કે કાર આપી દેતા હોય છે, પરંતુ આ ભૂલ કાયદાના સંઘર્ષમાં લાવી શકે છે અથવા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:46 pm

વલસાડમાં માર્ચમાં મે મહિના જેવી ગરમી:હવામાન વિભાગની બપોરે બહાર ન નીકળવાની સલાહ, પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ

વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસોમાં જ મે મહિના જેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ઉકળાટ અને ગરમ પવનો લોકોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે આકાશ ચોખ્ખું રહેશે અને તાપમાન 34.5C થી 36C વચ્ચે રહેવાની શક્યતા છે. જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર રહેવાની સંભાવના છે. વલસાડ શહેરમાં 35C, વાપીમાં 36C, પારડીમાં 35C, ધરમપુરમાં 37C, કપરાડામાં 37C અને ઉમરગામમાં 34C તાપમાન રહેવાનો અંદાજ છે. ગરમીમાં વધારા પાછળ મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા પવનો જવાબદાર છે. રાત્રિનું તાપમાન પણ 23-24C આસપાસ રહેતા ગરમીનો અહેસાસ યથાવત્ રહે છે. હવામાન વિભાગે ખાસ કરીને બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. લોકોને વધુમાં વધુ પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી, લીંબુ શરબત, શેરડીનો રસ અને બરફ ગોળા જેવા પીણાંનો આશ્રય લેતા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઊંચો જવાની શક્યતાઓ છે. વધતી ગરમીના કારણે કેરીના પાક પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને 'ખરણ' (ફળ ખરી પડવું) વધવાની શક્યતા હોવાથી વાડી માલિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:42 pm

સાંસદે લોકસભામાં અગરિયા પરિવારોને થયેલા નુકસાનની રજૂઆત કરી:'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સાંસદ ચંદુ શિહોરાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને અગરિયાઓને ખેડૂતોની જેમ 'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી હતી. સાંસદે નુકસાનીનો તાકીદે સર્વે કરાવવા બદલ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કચ્છના નાના રણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરિયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુ દેગામા અને પ્રહલાદ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:36 pm

મહેસાણામાં અકસ્માતની બે ઘટના:ડી-માર્ટ સર્કલ અને પાંચોટ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત

મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ટ્રક ચાલકોની બેદરકારીને કારણે દંપતી સહિત એસ.ટી. બસના કંડક્ટરને ઈજાઓ પહોંચી છે. આ બંને મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રથમ ઘટના:ડી-માર્ટ સર્કલ પાસે દંપતીને ટ્રકે અડફેટે લીધાગાંધીનગરના છત્રાલ બિલેશ્વરપુરા ખાતે રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ ભગવાનદાસ શ્રીમાળી અને તેમના પત્ની જ્યોત્સનાબેન ગત સાંજે પોતાના વતન કામલીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહેસાણા બાયપાસ ડી-માર્ટ સર્કલ પાસે ઊંઝા તરફથી આવી રહેલા એક ટ્રક નંબર: RJ GF 9009ના ચાલકે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દંપતી રોડ પર પટાકાયું હતું, જેમાં રમેશભાઈને જમણા પગે ફેક્ચર અને તેમની પત્ની જ્યોત્સનાબેનને ડાબા પગે ગંભીર ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી ઘટના: પાંચોટ ચોકડી પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતનો બીજો બનાવ વહેલી સવારે પાંચોટ ચોકડી પાસે બન્યો હતો. વાપી ડેપોની વાપી-ચાણસ્મા સ્લીપર કોચ બસ નંબર GJ-18-Z-8701 જ્યારે મહેસાણા રાધનપુર ચોકડીથી ચાણસ્મા તરફ જઈ રહી હતી ત્યારે પાંચોટ ચોકડી પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે પૂરઝડપે આવી બસના આગળના ભાગે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર કંડક્ટર પંકજકુમાર રાધુભાઈ મુનિયાને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. બસના ડ્રાઈવર અરવિંદકુમાર અસોડાએ આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:30 pm

પતિ, પત્ની ઔર વોનો કિસ્સો:પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો, ઘરમાંથી કાઢી મૂકવા ત્રાસ આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

પ્રેમલગ્નના પવિત્ર બંધનને જ્યારે લાલચ અને દગો ઘેરી લે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. જે યુવક સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને મહિલાએ સંસાર માંડયો હતો, એ જ પતિ હવે બીજી યુવતીના મોહમાં પત્નીને ‘દસ લાખ આપી છૂટાછેડા' લેવા દબાણ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો મહેસાણા પંથકની આ મહિલાની બહેને અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા.તે જ ગામના એક અન્ય જ્ઞાતિના યુવક સાથે મહિલાને પ્રેમ થતા બંનેએ લગ્ન કર્યા હતા. સુખદ દામ્પત્ય જીવનના દસ વર્ષ વીતી ગયા હતા અને તેમને આંગણે પાંચ વર્ષની માસૂમ દીકરી પણ રમી રહી હતી. જોકે, દસ વર્ષના આ મજબૂત ગણાતા સંબંધોમાં ત્યારે તિરાડ પડી જ્યારે પતિને પોતાના જ સમાજની એક અન્ય યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા જ ઘરમાં પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવાયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સાસુ અને પતિએ સાથે મળીને પરિણીતાને આજીજી કરવાને બદલે ધમકાવવાનું શરૂ કર્યું. સાસુ અને પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, 'અમારે ઘરમાં પ્રેમિકાને લાવવી છે, તું આ ઘર છોડી દે. અમે તને 10 લાખ રૂપિયા આપીશું, બસ તું છૂટાછેડા આપી દે.' પોતાના જ ઘરમાં પારકી બની ગયેલી મહિલાએ હિંમત હાર્યા વગર 181 અભયમ હેલ્પલાઇન અને 112 ની મદદ માંગી હતી. 181ની સમજાવટ બાદ પણ સાસરિયાઓ ટસના મસ ન થયાઅભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે સાસરિયાઓને કાયદાનું ભાન કરાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે પત્નીને આ રીતે કાઢી મૂકવી એ ગુનો છે. અભયમ ટીમની લાંબી સમજાવટ છતાં પતિ અને સાસુ પોતાની જિદ પર અડગ રહ્યા હતા અને પત્નીને સ્વીકારવા તૈયાર નહોતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા અભયમની ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ પોતાના જ પતિ અને સાસુ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:26 pm

રાજુલામાં 45 તળાવ ઊંડા કરાશે:ધારાસભ્ય હીરા સોલંકીએ સ્વ. ખોડાબાપા ટ્રસ્ટના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું

અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણ અભિયાન હેઠળ રાજુલામાં 45 તળાવો અને ચેકડેમોને ઊંડા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્વ. ખોડાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ, રાજુલા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં વધતી જતી પાણીની સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજુલા અને જાફરાબાદ તાલુકાના વિવિધ ગામોમાં નાના-મોટા તળાવો અને ચેકડેમોને ઊંડા ઉતારવામાં આવશે. ધારાસભ્ય હીરા સોલંકીના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યોનું આજે તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી જળસ્તર ઊંચા લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે જળ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવા બદલ ધારાસભ્ય હીરા સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીગ્નેશ પટેલ, મયુર દવે, રાજુ પડસાલા, રમેશ ડોબરીયા, વિજય કોટીલા, આનંદ ભટ્ટ, કરશન ચૌહાણ, રવુ ખુમાણ, હરસુર લાખણોત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માલધારી સમાજ, વેપારી સમાજ, તાલુકા સંઘ, મજૂર સંઘ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:16 pm

PM સાથે બેઠક બાદ ગુજરાત સરકારની હાઈલેવલ મીટિંગ:હર્ષ સંઘવીએ કહ્યું- 'અફવાઓથી સાવધાન, રાજ્યમાં જરુરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ'

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ એ આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સપ્લાય ચેન વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગેસ,. ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરુરી વસ્તુની કોઈ તંગી નથી- સંઘવીરાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેસ, ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરૂરી વસ્તુઓની કોઈ તંગી નથી. ગુજરાતમાં 1.28 કરોડ LPG ગ્રાહકોને સતત ગેસ પુરવઠો આપવામાં આવશે. ગેસ કનેક્શન આપવા માટે 50થી વધુ ટીમો કાર્યરત છે અને CNG સ્ટેશનો પણ નિયમિત રીતે કાર્યરત છે. તે ઉપરાંત કોમર્શિયલ કનેક્શનને PNGમાં રૂપાંતરિત કરવા દિશામાં પણ ઝડપી કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં પહેલેથી જ 23 ટકા PNG ગેસ વિતરણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અફવાઓ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કાળા બજાર અને અફવા ફેલાવવાના કેસમાં 17 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી પર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. શ્રમિકોને ધ્યાનમાં રાખીને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકમોને પગાર વહેલો આપવા અને કામદારો માટે જમવાની સુવિધા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં સંકલન સમિતિઓ રચવામાં આવશે. LPG ગેસ સંબંધિત અંદાજે 10 હજાર ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેના નિવારણ માટે તંત્ર કાર્યરત છે. અંતમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે “લોકડાઉન જેવી અફવાઓથી ડરશો નહીં અને અફવા ફેલાવનારાઓનો સામાજિક બહિષ્કાર કરો.”

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:15 pm

જૂનાગઢમાં કાળમુખો શુક્રવાર:વિસાવદર, માણાવદર અને બાંટવામાં બે માસૂમ બાળકો અને એક આશાસ્પદ યુવાનના અકાળે કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીની.

​જૂનાગઢ જિલ્લા માટે ગત શુક્રવાર જાણે કાળમુખો સાબિત થયો હોય તેમ અલગ-અલગ ત્રણ તાલુકાઓમાં બનેલી દુખદ ઘટનાઓએ સમગ્ર પંથકને હિબકે ચડાવ્યો છે. વિસાવદરના હસનાપુરમાં એક માસૂમ બાળકનું પાણીના કુંડામાં ડૂબી જવાથી, માણાવદરના જીંજરી ગામે પિતાને પાણી પાવા ગયેલા યુવાનનું વીજ કરંટથી અને બાંટવાના પાજોદ ગામે અન્ય એક 2 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મૃત્યુ નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે. આ ત્રણેય બનાવોમાં આશાસ્પદ જીંદગીઓ અકાળે હોમાઈ ગઈ છે,અકસ્માતો અને અણધાર્યા વીજ કરંટના આ બનાવોએ અનેક પરિવારોના કુળદીપકો બુઝાવી દીધા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. ​વિસાવદર તાલુકાના હસનાપુર ગામની સીમમાં બનેલી પ્રથમ ઘટનાએ પિતૃત્વ અને વાત્સલ્યને હચમચાવી દીધું છે. હસનાપુર ગામમાં રામ મંદિર પાસે રહેતા નિલેશભાઈ પારડીયા ઉનાળુ સીઝનમાં પોતાના ખેતરમાં તલનું નિંદામણ કરવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો માત્ર 2 વર્ષનો વહાલસોયો પુત્ર અંશ પણ ખેતરમાં રમવા માટે ગયો હતો. પિતા જ્યારે ખેતીકામમાં મગ્ન હતા, ત્યારે નાનો અંશ ખેતરમાં આસપાસ રમી રહ્યો હતો. કમનસીબે રમતા-રમતા આ માસૂમ બાળક ખેતરમાં જ આવેલા પાણીના સંગ્રહ માટેના કુંડા પાસે પહોંચી ગયો હતો. કોઈનું ધ્યાન ન હોવાથી અચાનક અંશનું સંતુલન બગડ્યું અને તે સીધો પાણી ભરેલા કુંડામાં ખાબક્યો હતો. પિતા જ્યારે પોતાના કામમાંથી પરવારીને જોયું ત્યારે તેમનો લાડકવાયો કુંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માસૂમ અંશના અકાળે અવસાનથી હસનાપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસાવદર પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ​આ જ દિવસે બીજી એક કરુણ ઘટના માણાવદર તાલુકાના જીંજરી ગામે બની હતી, જ્યાં પિતાની તરસ છિપાવવા ગયેલા પુત્રને કાળ આંબી ગયો હતો.જીંજરી ગામના વતની ચંદ્રકાંતભાઈ ગેડા ગામમાં એક મકાનની અગાશી પર મજૂરી કામ કરી રહ્યા હતા. ઉનાળાના બપોરે પિતાને પાણીની જરૂર પડતા તેમનો 18 વર્ષનો પુત્ર તુષાર ગેડા પાણીનો લોટો લઈને અગાશી પર પહોંચ્યો હતો. તેને જરા પણ અંદાજ નહોતો કે અગાશીની અત્યંત નજીકથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તેના માટે જીવલેણ સાબિત થશે. તુષાર જેવો અગાશી પર પહોંચ્યો કે તરત જ તેનો સંપર્ક વીજ લાઈન સાથે થઈ ગયો હતો અને જોરદાર કરંટ લાગતા તે ફંગોળાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઇલેક્ટ્રિક શોક લાગેલા તુષારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ગેડા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જીંજરી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ​જિલ્લામાં ત્રીજો બનાવ બાંટવા પોલીસ મથક હેઠળના પાજોદ ગામની વાડીમાં બન્યો હતો, જેમાં અન્ય એક 2 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની રવિભાઈ સૂર્યવંશી પાજોદમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે બાળકના મામા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનો ૨ વર્ષનો ભાણેજ અરવિંદ નજીકમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અરવિંદ અચાનક વાડીમાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયો હતો. ટાંકામાં પાણી વધુ હોવાથી માસૂમ અરવિંદ ગૂંગળાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રથી રોજીરોટી માટે આવેલા આ ગરીબ પરિવારનો માસૂમ પુત્ર આ રીતે અકાળે અવસાન પામતા વાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. બાંટવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ દુર્ઘટનાઓએ રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવ્યા છે. પાણીના ખુલ્લા ટાંકા, કુંડા અને રહેણાંક મકાનોની નજીકથી પસાર થતી જોખમી વીજ લાઈનો ગમે ત્યારે જીવલેણ બની શકે છે તે આ બનાવો પરથી સ્પષ્ટ થાય છે. ખેતરમાં કે ઘર પાસે રમતા નાના બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે તે પણ આ હૃદયદ્રાવક કિસ્સાઓ શીખવે છે. આ ત્રણેય પરિવારોમાં જે ખોટ પડી છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. જિલ્લામાં બનેલા આ કાળમુખા શુક્રવારે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:12 pm

50 હજાર લોકો પાણી વગર રહેશે:માંજલપુર ટાંકી ખાતે નવું ફલો મીટર લગાવવાની કામગીરીના કારણે 30 માર્ચે સાંજે પાણી નહીં મળે

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી ખાતે નવું ફલો મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે આગામી 30 માર્ચના રોજ સાંજના સમયે પાણી પુરવઠો નહી મળી શકે. મુખ્ય ફીડર લાઇન ઉપર ફલો મીટર લગાવાશેમાંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન ઉપર નવું ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીને પરિણામે નિર્ધારિત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા અનિયમિત રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર વિસ્તારના લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે. 30 માર્ચે સાંજે અને 31 મી સવારે અસરઆ કામગીરી તારીખ 30 માર્ચ, 2026 ના રોજ સવારના ઝોનનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ મેન્ટેનન્સ કાર્યને કારણે તારીખ 30 માર્ચના રોજ સાંજના સમયે માંજલપુર ટાંકી હેઠળ આવતા વિવિધ ઝોનમાં પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. ખાસ કરીને સાંજે 5:30 થી 6:30 અને રાત્રે 7:00 થી 8:00 વાગ્યાના સ્લોટમાં જે વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે, ત્યાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આથી, ગૃહિણીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સાંજની જરૂરિયાતો માટે અગાઉથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. માત્ર સાંજ જ નહીં, પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ 31 માર્ચ, 2026 ના રોજ પણ પાણી વિતરણમાં તેની અસર જોવા મળશે. કામગીરી લાંબી ચાલવાની શક્યતાને જોતા 31 તારીખે સવારના સમયે પાણી વિતરણમાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત, ટેકનિકલ સંતુલન જાળવવા માટે પાણી ખૂબ જ હળવા દબાણથી (Low Pressure) આપવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અગવડતા બદલ સહકાર આપે અને પાણીનો અગાઉથી પૂરતો સંગ્રહ કરી રાખે જેથી દૈનિક કાર્યોમાં કોઈ વિક્ષેપ ન પડે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:12 pm

ભરઉનાળે સુરતીઓ પર પાણીકાપ ઝીંકાયો:દિલ્હી ગેટ પાસે લાઈન રિપેરીંગને કારણે 1 અને 2 એપ્રિલે શહેરના 4 ઝોનમાં પાણી નહીં મળે, લાખો નાગરિકોને અસર થશે

હીરાનગરી સુરતના નાગરિકોને આગામી 1 અને 2 એપ્રિલના દિવસે પાણી કાપની સમસ્યાનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા શહેરની મુખ્ય જળ વિતરણ લાઈનમાં મોટા પાયે રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી ગેટ પાસે આવેલી 1524 મી.મી. વ્યાસની વિશાળ એમ.એસ. લાઈનમાં સર્જાયેલા લીકેજને રિપેર કરવા માટે પાલિકાએ 36 કલાક સુધીનો પાણી કાપ જાહેર કર્યો છે. આ કામગીરીને કારણે સેન્ટ્રલ, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ અથવા નહિવત રહેશે. લીકેજ રિપેરીંગ કરવા માટે પાણી સપ્લાય બંધ રહેશેસુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, કતારગામ જળ શુદ્ધિકરણ પ્લાન્ટથી આવતી 1524 મી.મી. વ્યાસની મુખ્ય લાઈન કે જે શહેરના દક્ષિણ અને મધ્ય ભાગોને પાણી પહોંચાડે છે, તેમાં દિલ્હી ગેટ પાસે ગંભીર લીકેજ જોવા મળ્યું છે. જો આ લીકેજને સમયસર રિપેર કરવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અથવા હજારો ગેલન પાણીનો વ્યય થઈ શકે છે. કયા વિસ્તારમાં ક્યારે પાણી વિતરણ બંધ રહેશેઆ કામગીરી 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 09:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 08:00 વાગ્યા સુધી સતત ચાલશે. આ સમયગાળા દરમિયાન સંબંધિત જળ વિતરણ મથકોની ટાંકીઓ ભરી શકાશે નહીં, જેના પરિણામે લાખો લોકોના નળ સુકા રહેશે. સાઉથ ઝોન ઉધના-એને સૌથી વધુ અસર થશેઉ ધના ઝોનમાં ત્રણ મુખ્ય જળ વિતરણ મથકો - ચીકુવાડી, પાંડેસરા અને ખટોદરા પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી તેમજ ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર અને કરશન નગરમાં પાણી નહીં આવે. 2 એપ્રિલ સવારનો સપ્લાય પાંડેસરા ગામતળ, આવિર્ભાવ સોસાયટી, કૈલાશ નગર, ભેસ્તાન અને પાંડેસરા GIDC વિસ્તારમાં સંપૂર્ણ પાણી કાપ રહેશે. ખટોદરા જળ વિતરણ મથક હેઠળના ગાયત્રીનગર, શાંતિનગર, હરીનગર અને ઉધના ગામ તળ વિસ્તારમાં પણ પાણી બંધ રહેશે. સાઉથ-ઈસ્ટ ઝોન લિંબાયત વિસ્તારના મધ્યમ અને શ્રમજીવી વર્ગના વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ શકે છે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય ભાઠેના વિસ્તાર, સલીમનગર, EWS કવાર્ટ્સ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, ચીમનીનો ટેકરો અને ઇસ્લામપુરામાં પાણી પુરવઠો ખોરવાશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય ભાખડ માહોલ, રાહત કોલોની અને પમ્પિંગ સ્ટેશનની આજુબાજુની ગલીઓમાં પાણી આવશે નહીં. સેન્ટ્રલ ઝોન શહેરના હૃદય સમાન ગણાતા કોટ વિસ્તારમાં પણ લાલ દરવાજા જળ વિતરણ મથકથી અપાતો પુરવઠો પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય દિલ્હી ગેટથી ચોક બજાર સુધીનો ઉત્તર વિભાગ, મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા અને નાણાંવટ વિસ્તારમાં પાણી અલ્પ માત્રામાં અથવા ઓછા પ્રેશરથી મળશે. સુમુલ ડેરી અને રેલ્વે સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ પણ અસર થશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા અને નાનપુરા જેવા દક્ષિણ વિભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાય તેવી શક્યતા છે. સાઉથ વેસ્ટ ઝોન અઠવા ઝોનમાં અઠવા જળ વિતરણ મથકથી આપવામાં આવતો સવારનો પુરવઠો (સમય 05 થી 08) ખાસ કરીને ઉધના મગદલ્લા રોડ, ભટાર રોડ અને રૂપાલી કેનાલ વિસ્તારમાં પ્રેશરની સમસ્યા રહેશે. નાગરિકોને બે દિવસ માટે જરુરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલસુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગે નાગરિકોને અગાઉથી જાણ કરી છે કે તેઓ આ બે દિવસ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. ઉનાળાની શરૂઆત થઈ રહી હોવાથી પાણીનો વપરાશ વધ્યો છે, ત્યારે આ કાપ નાગરિકો માટે કપરો સાબિત થઈ શકે છે. નાગરિકોએ 31 માર્ચની રાત સુધીમાં ઘરની ટાંકીઓ સંપૂર્ણ ભરી લેવી. નહાવા, કપડાં ધોવા કે સફાઈમાં બિનજરૂરી પાણીનો બગાડ ટાળવો. આ રિપેરીંગ કામગીરી 2 એપ્રિલની સવાર સુધીમાં પૂર્ણ થવાની આશા છે, ત્યારબાદ ધીમે ધીમે પાણીનું પ્રેશર સામાન્ય થશે. શહેરના પૂર્વ અને ઉત્તર ઝોન વરાછા, કતારગામમાં આ કાપની અસર નહીંવત રહેશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 2:08 pm

છોટાઉદેપુરમાં પ્રથમવાર મહિલા ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉતરી:જિલ્લા પંચાયતની વહીવટી પાંખ ટુર્નામેન્ટનો કલેક્ટર ગાર્ગી જૈને પ્રારંભ કરાવ્યો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. કલેક્ટરે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. ખાસ કરીને, પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે એક નોંધપાત્ર પહેલ છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 1:56 pm

મકાઈની આડમાં દારૂની હેરાફેરી, પંચમહાલ LCBએ પર્દાફાશ કર્યો:₹39 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹39.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને એસ.પી. ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. આ દરમિયાન ASI નાદીરઅલી નિઝામુદ્દીનને ચોક્કસ બાતમી મળી હતી કે, એક એલ.પી. ટ્રક (GJ-05-AT-1848) માં મકાઈની આડમાં દારૂનો જથ્થો દાહોદથી ગોધરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સંતરોડ ગામે આદ્યા હોટલ સામે હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ઉપરના ભાગે મકાઈની બોરીઓ ભરેલી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹39,49,084/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૯૩૬૦ નંગ વિદેશી દારૂ અને બીયર (કિંમત ₹28,69,584/-), એક ટાટા એલ.પી. ટ્રક (કિંમત ₹10,00,000/-), ૧૦૦ નંગ મકાઈની બોરીઓ (કિંમત ₹70,000/-) અને ₹9,500/- રોકડ તથા મોબાઈલનો સમાવેશ થાય છે. આ ગુનામાં પોલીસે ઈરફાનખાન સલીમખાન (રહે. નપાવલી, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 1:55 pm

હિંમતનગરમાં 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે:તમામ 16 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ, બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા યોજાશે. કુલ 3071 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રો પર આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પરીક્ષાને લઈને તમામ 16 કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં શનિવારે બેઠક નંબર લખવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-A માં 914, ગ્રુપ-B માં 2145 અને ગ્રુપ AB માં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ, 2506 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને 564 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. તમામ 16 પરીક્ષા કેન્દ્રોના 157 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 1:50 pm

છોટાઉદેપુર વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરી:ઉનાળામાં જંગલના કુંડ અને વોટર પોઈન્ટ્સ ભરાયાં

છોટાઉદેપુર જિલ્લામાં કાળઝાળ ઉનાળા વચ્ચે વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરી છે. જંગલ વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ પાણીના કુંડ અને વોટર પોઈન્ટ્સ દ્વારા રીંછ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રાહત મળી રહી છે. વન વિભાગ ઉનાળાની તીવ્ર ગરમીમાં પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે સતત પાણી ભરાવવાની કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધતા તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પાણીનો પ્રશ્ન ઊભો થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે આગોતરું આયોજન કરીને જંગલોમાં પાણીની વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં કૃત્રિમ પાણીના કુંડ, સિમેન્ટના તળાવ અને વોટર પોઈન્ટ્સ તૈયાર કરાયા છે. ટેન્કર મારફતે આ પાણીના સ્ત્રોતોમાં નિયમિતપણે પાણી ભરવામાં આવે છે, જેથી જંગલના પ્રાણીઓને તરસથી બચાવી શકાય. વન વિભાગના આ પ્રયાસથી ઉનાળાના કપરા સમયમાં વન્યજીવોને મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને રીંછ, દીપડા, હરણ, સસલા અને અન્ય જંગલી પ્રાણીઓ માટે આ પાણીના કુંડ જીવનદાતા સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન આ કામગીરી સતત ચાલુ રહેશે. જ્યાં પાણીની વધુ જરૂરિયાત હશે, ત્યાં વધારાના ટેન્કર અને નવી પાણી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જીવન બચાવવા માટે વન વિભાગ સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 1:12 pm

સિંહ બાળનું માતા સાથે મિલન:વેરાવળના રામપરા ગામે કૂવામાંથી સિંહ બાળાને બચાવાયું

ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કૂવામાંથી બચાવેલા સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. આ સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ, વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કૂવામાં આશરે 1 વર્ષની ઉંમરનું એક સિંહ બાળ અકસ્માતે પડી ગયું હતું. વન વિભાગને જાણ થતાં જ વનપાલ, વનરક્ષકો અને ટ્રેકર્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહ બાળને તાત્કાલિક સારવાર અર્થે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેની જરૂરી સારવાર કરવામાં આવી હતી. ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિંહ બાળ બે દિવસ અગાઉ વેરાવળના રામપરા ગામે કૂવામાં પડ્યું હતું. સારવાર અને દેખરેખ બાદ તેને તેની માતા સાથે ફરીથી ભેળવી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 1:11 pm

SOGએ ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ કર્યો:વિદ્યાર્થીઓને નશાના દુષણથી બચાવવા સમજ અપાઈ

જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા શહેરની ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના દુષણથી બચાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો હતો. આ સેમિનારમાં ડી.કે.વી. કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ જોડાયા હતા. SOG ટીમે તેમને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કાયદા વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને અફીણ, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર અને હેરોઈન જેવા નાર્કોટિક્સ પદાર્થોના જોખમો વિશે સમજાવવામાં આવ્યું. તેમને નશાની બદીથી દૂર રહેવા અને તેનાથી થતા વ્યક્તિગત તેમજ પારિવારિક પતનને રોકવા માટે જાગૃત કરાયા. SOG ટીમે ભારપૂર્વક જણાવ્યું કે આવા કેફી દ્રવ્યોનો એક-બે વારનો ઉપયોગ પણ વ્યક્તિને આજીવન બંધાણી બનાવી શકે છે, જેના પરિણામે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પણ ધકેલાઈ શકે છે. આ ઉપરાંત, સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી બાબતો અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. ટીમે વિદ્યાર્થીઓને જાગૃત નાગરિક તરીકેની તેમની ફરજ સમજાવી. તેમને અપીલ કરવામાં આવી કે નશાના બંધાણીઓ ઘણીવાર આર્થિક લાભ માટે નવા વિદ્યાર્થીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે. આવા માદક દ્રવ્યોનું વેચાણ કરતા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા અને કોલેજ કેમ્પસ કે આસપાસ થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવી. પોલીસ દ્વારા માહિતી આપનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:47 pm

ખેડૂતોની 14માંથી માત્ર 1 માગણી જ સંતોષાતા ખેડૂતોમાં રોષ:હવે PM સુધી લડત લઈ જવાની ભારતીય કિસાન સંઘની ચેતવણી, 3 મહિના પછી પણ સરકારના વચનો કાગળ પર જ

રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અસંતોષ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સરકાર દ્વારા 3 મહિના પહેલા ખેડૂતોની 14 માંગણીઓ સ્વીકારીને તેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિએ માત્ર એક જ માંગણીનો અમલ થયો છે, જ્યારે બાકી 13 માંગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારની ખાતરીઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. અનેક રજૂઆતો છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નો હજી યથાવત છે. હવે ખેડૂતો સીધા વડાપ્રધાન સુધી મુદ્દો લઈ જવાની તૈયારીમાં છે. સરકારે સ્વીકારેલી ખેડૂતોની માંગણીઓ નીચે મુજબ છે, પરંતુ તેમાં અમલ ન થતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. (1) વડીલોપાર્જીત મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી – આ માંગણી પર સરકારે જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેનો વ્યાપક લાભ હજી જમીન સ્તરે મળતો નથી. (2) ગૌચર અને સરકારી જમીનની માપણી કરીને દબાણો દૂર કરવી, ફેન્સીંગ કરાવવી તથા નગરપાલિકા-તાલુકા પંચાયત દ્વારા ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ આપવી અને રી-સર્વેના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવો. (3) સૌની યોજના, સુજલામ સુફલામ અને અન્ય પાઈપલાઈન દ્વારા વધુમાં વધુ તળાવો ભરવા, હાઈકંટ્રોલ કેનાલને આગળ વધારવી, કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા જેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવું, મંજૂર થયેલા એમ.એફ. પાણીના કામમાં ગતિ લાવવી અને બાકી પાણીની વહીવટી મંજૂરી આપવી, તેમજ નદીઓ પર ચેકડેમ બનાવવો (જેમ કે બનાસ નદી પર દર 10 કિ.મી.). (4) ટોલટેક્સ બૂથ નજીક રહેતા લોકોને થતી હેરાનગતિ દૂર કરવી. (5) ફુવારા અને ડ્રીપ ઈરીગેશનમાં 80% સબસીડી આપવી. (6) ટ્રેક્ટરની ટ્રોલીને 5 વર્ષ સુધી પાસીંગમાંથી મુક્તિ આપવી. (7) વીજ ટાવર લાઈનના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી જમીન માટે યોગ્ય વળતર ચૂકવવા પોલિસી બનાવવી. (8) રાસાયણીક ખાતરની વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી અમલમાં મૂકવી. (9) તાર ફેન્સીંગ સબસીડીમાં વધારો કરી વધુ ખેડૂતોને લાભ મળે તેવું કરવું. (10) દેશી બીજ અને દેશી કપાસના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવી. (11) વન વિભાગ દ્વારા રેવન્યુ જમીનને વનમાં સમાવેશ કરવાની પ્રક્રિયા અટકાવવી, ગીર સોમનાથના 14 સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ઈકોઝોન વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બેઠક યોજવી. (12) ખાનગી કૃષિ કોલેજોમાં આઈ.સી.આર.ના નિયમોનું કડક પાલન કરાવવું અને નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો બંધ કરવી. (13) 3 થી 5 લાખ સુધીના ધિરાણનો અમલ કેન્દ્ર સરકારની યોજના લાગુ થયા બાદ તાત્કાલિક કરવો. (14) બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ અને ખેડૂતો વચ્ચેના ભાવ વિવાદ અંગે ઉચ્ચ કક્ષાએ બેઠક કરીને ઉકેલ લાવવો. ખેડૂતોનું કહેવું છે કે, એકાદ જાહેરાતોથી પ્રશ્નો હલ થતા નથી. બાકી રહેલી માંગણીઓ પર તાત્કાલિક અમલ જરૂરી છે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતો હવે રાહ જોવાના મૂડમાં નથી. સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યમાંથી કેન્દ્ર સુધી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:46 pm

1 લાખ સામે 4.88 લાખ ચૂકવ્યા:મોરબીના ટાઇલ્સ વેપારીને વ્યાજખોરની જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં એક ટાઇલ્સ વેપારી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા છે. તેમણે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે કુલ 4.88 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ મામલે વેપારી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ અંગે મોરબીના દલવાડી સર્કલ પાસે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દલવાડી સર્કલ પાસે રહેતા પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ સામે આ ફરિયાદ કરી છે. ભરતભાઈએ પોલીસને જણાવ્યું કે, વર્ષ 2022માં તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતાં પ્રકાશભાઈ પાસેથી 8 ટકાના વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા. તે સમયે આરોપીએ વધુ પૈસા પડાવવાના ઇરાદે તેમની પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને IDBI બેંકના ત્રણ ચેક બળજબરીપૂર્વક લઈ લીધા હતા. ફરિયાદીએ વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 4,88,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, પ્રકાશભાઈ તેમની પાસેથી વધુ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. પ્રકાશભાઈએ ભરતભાઈના દીકરા ભવ્યને ફોન કરીને ગાળો આપી હતી અને વ્યાજ નહીં ભરે તો માર મારવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ભરતભાઈને પણ વ્યાજ સહિત મૂળ રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી પ્રકાશભાઈ પીઠમલ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:36 pm

કારની ટક્કરે વૃદ્ધ બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત.:કેશોદ બાયપાસ નજીક હિટ એન્ડ રન જેવી ઘટના; પુરપાટ ઝડપે આવતી કારે બાઈકને હડફેટે લેતા 80 વર્ષીય વૃદ્ધનું કરુણ મૃત્યુ, પોલીસ તપાસ તેજ.

​જૂનાગઢ જિલ્લાના કેશોદ-જૂનાગઢ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા બાયપાસ વિસ્તારમાં એક કાર ચાલકે મોટરસાઈકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ​છગનભાઈ ગજેરા (ઉંમર વર્ષ 80) પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતા જ વૃદ્ધ ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે વયોવૃદ્ધ છગનભાઈએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ​આ કરુણ ઘટના અંગે મૃતક છગનભાઈના પુત્રએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો અને તેમના પિતાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ​અકસ્માત બાદ કેશોદ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વર્ષીય વૃદ્ધના અકાળે અવસાનથી ગજેરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:29 pm

સગીરા પર બહેનપણીના ભાઈએ દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો:આરોપીએ અશ્લીલ વીડિયો મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો, સગીરા ઘરે આવતી-જતી હોવાથી નજર રાખી હવસનો શિકાર બનાવી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સગીરા સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ બનાવી લીધોમળતી માહિતી અનુસાર, ઈદ પહેલાં સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. ઘટનાને કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના એક મિત્રને બતાવ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. આરોપીએ અન્ય મિત્રને વીડિયો દેખાડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યોવીડિયો જોતાં જ મિત્રને ખ્યાલ આવ્યો કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે. તેણે તરત જ આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલી સગીરાના ભાઈને કરી હતી. બાદમાં સગીરાના ભાઈએ તેની બહેન પાસેથી વિગતો જાણીને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીદુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. માંજલપુર પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:26 pm

બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત:પરિણિતાએ પોતાના જ ઘરની નજીકથી 11 માં માળેથી છલાંગ લગાવી આત્મઘાત કરતા ચકચાર મચી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેણીએ આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોત તરીકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિણીતા 9 મહિનાથી પેટમાં ચાંદા પડ્યાની બીમારીથી પીડાતી હતીલક્ષ્મીપુરા રોડ સમતા પાસે આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 માં ઈ ટાવરમાં 11માં માળે રહેતી સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા ( ઉંમર વર્ષ 35) ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેઓને પેટમાં ગંભીર રીતે ચાંદા પડી ગયા હતા અને અસહ્ય બીમારીથી પીડાતા હતા. આજે સવારે તેઓએ પોતાની ગેલરીમાંથી પડતું મૂક્યું હતી. ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરીઆ ​ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પરિણીતાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહી નજર હટાવતા જ આ પગલું ભર્યુંઆ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું કે, તે છેલ્લા નવ મહિનાથી બીમારીથી પીડાતી હતી. અવારનવાર અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા. નવ મહિનાથી તે ઘરમાં છે અને મારો દીકરો પણ નોકરી છોડી ઘરે રહેતો હતો. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહેતા તે ગેલરીમાં બેસી અને મને જોવાનું કહ્યું હતું. હું ગઈ એટલામાં તો તેણે આ પગલું ભરી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:09 pm

આંગડિયા પેઢીમાં તાળા તોડી ચોરી.:કેશોદમાં આંગડિયા પેઢીને નિશાન બનાવતા તસ્કરો; અજાણ્યા શખ્સે ઓફિસનું તાળું તોડી રોકડ અને સોનાના દાગીના સહિત 95 હજારની મત્તા ચોરી, તપાસ તેજ.​

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગ એવા કેશોદ-વેરાવળ રોડ પર આવેલી એક આંગડિયા પેઢીમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરે આંગડિયા પેઢીની ઓફિસને નિશાન બનાવી, મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી રોકડ રકમ તેમજ સોનાના પાર્સલ સહિત કુલ 95.000 રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના વેરાવળ રોડ પર આવેલા વ્યસ્ત કોમ્પલેક્ષમાં કાર્યરત આ આંગડિયા પેઢીમાં ચોરીની આ ઘટના ગણતરીની મિનિટોમાં જ અંજામ આપવામાં આવી હતી. સવારના સમયે જ્યારે પેઢીમાં કોઈ સ્ટાફ હાજર નહોતો અને ઓફિસ બંધ હતી, ત્યારે તસ્કરોએ આ સમયનો ગેરલાભ ઉઠાવ્યો હતો. અજાણ્યા ઈસમે અત્યંત ચાલાકી પૂર્વક ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું ખોલી નાખ્યું હતું અને ઓફિસમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પેઢીના કર્મચારીઓ પરત આવ્યા અને તાળા તૂટેલી હાલતમાં જોયા હતા. તસ્કરે ઓફિસની અંદર ટેબલના કાઉન્ટર પાસે રાખેલી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત, આંગડિયામાં મોકલવા માટે અથવા ડિલિવરી માટે આવેલું એક સોનાનું કિંમતી પાર્સલ પણ તસ્કરની નજરે ચડી ગયું હતું. આમ, રોકડ અને સોનાના પાર્સલ મળીને કુલ 95,000 રૂપિયાની મત્તા લઈ તસ્કર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ધોળા દિવસે અને લોકોની અવરજવર વાળા વિસ્તારમાં આ પ્રકારે તાળા તોડીને થયેલી ચોરીએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ​આ સનસનીખેજ ઘટના બાદ પેઢીમાં ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાલમાં જે-તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીની ઓળખ કરી શકાય. ​કેશોદના ધમધમતા અને મુખ્ય વેપારી વિસ્તારમાં આ પ્રકારે આંગડિયા પેઢી જેવી સુરક્ષિત જગ્યાએ ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે જો ભરબપોરે અને મુખ્ય માર્ગ પર આવેલી ઓફિસો સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું ? આ ઘટનાને પગલે આસપાસના અન્ય દુકાનદારો અને આંગડિયા વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. ​પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તસ્કર કદાચ રેકી કરીને આવ્યો હતો અથવા તેને પેઢીની ગતિવિધિઓ વિશે અગાઉથી જાણકારી હતી. ટૂંકા સમયગાળામાં જે રીતે તાળું તોડીને સીધી જ રોકડ અને સોનાના પાર્સલ પર હાથ સાફ કરવામાં આવ્યો છે, તે જોતા કોઈ જાણભેદુ અથવા રીઢા ગુનેગારનો હાથ હોવાની શંકા પણ નકારી શકાતી નથી. પોલીસની વિવિધ ટીમો હાલમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તસ્કરના સગડ મેળવવા પ્રયાસ કરી રહી છે. 95 હજારની આ ચોરીએ કેશોદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 12:07 pm

માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઅમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. ગેસના બાટલાની લાઇનમાં ઉભો હતો ત્યાં પડોશીનો ફોન આવ્યોદિપક રાબેતા મુજબ નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની મોનીકા અને બે દીકરી ઘરે હાજર હતી. દિપકને ગેસનો સિલિન્ડર બુક કરવાનો હોવાથી તે અમરાઈવાડી લાઈનમાં ઉભો હતો ત્યારે તેમના પડોશી હંસાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે ફટાફટ ઘરે આવી જાઓ. દિપક તરત જ ઘરે પહોંચતા લોકોનું ટોળુ જોયુ હતું. લોકો બાળકીની પીઠ થાબડતા હતા જેથી દિપક ચિંતામાં આવી ગયો હતો. દિપકે પૂછ્યુ તો આસપાસના લોકોએ જણાવ્યુ કે તમારી દીકરી પાણીમાં પડી ગઈ છે. પત્નીએ રડતાં-રડતાં કહ્યું મારીથી ભૂલ થઈ ગઈદિપક તેની પત્ની મોનીકા પર ગિન્નાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તુ શું ધ્યાન રાખે છે તે કેવી રીતે પડી ગઈ. આસપાસના લોકોએ દિપકને કહ્યુ કે તુ ગુસ્સો ના કરીશ શાંતિ રાખ દીકરીને દવાખાને લઈ જઈએ છે. દિપક મોનીકા તેની દીકરીને હોસ્પિટલ લઈ ગયા જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોત બાદ મોનીકાએ રડતા રડતા દિપકને કહ્યુ કે મારાથી ભુલ થઈ ગઈ છે. મોનીકાએ જણાવ્યુ કે આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા માટે નીચે ગઈ હતી ત્યારે દીકરી મારી સાથે હતી. પોતાના પર આરોપ ના આવે તે માટે ઉપર તગારું મૂકી દીધુંમોનીકાનો પગ પોતા ઉપર આવતા દીકરી તેના હાથેથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી હતી.મોનીકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી જેથી તે ગભરાઈ ગઈ હતી. મોનીકા ઉપર આરોપ આવે નહી તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણુ બંધ કરી દીધુ હતું અને તેની ઉપર તગારૂ મુકી દીધુ હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને મોનીકાની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 11:53 am

RTE હેઠળ પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOની ચેતવણી:આવક ઓછી બતાવી બાળકને પ્રવેશ અપાવશે તો વાલી સામે ફોજદારી ગુનો દાખલ થશે, પ્રવેશ પણ રદ્દ કરાશે

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરમાં 14 હજાર કરતા વધુ બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને RTE હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશેઅમદાવાદ શહેરની 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. પરંતુ કેટલાક વાલીઓ પોતામાં બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે રજીસ્ટ્રેશન વખતે ખોટી વિગતો ભરતા હોય છે. આવક ઓછી બતાવી ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરીને પોતાના બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે. જો ખોટો આવકનો દાખલો બતાવી પ્રવેશ અપાવ્યો તો પ્રવેશ રદ્દ થશેજોકે, કેટલીક શાળાઓ ચાલુ સત્રમાં વાલીઓએ ખોટી વિગત આપી હોવાનું સામે આવતા તેમના બાળકનો RTE હેઠળ પ્રવેશ રદ કરવામાં આવતો હોય છે. જેના કારણે તે બેઠક પર 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના દીકરાઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. જેથી આ વર્ષે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને ચેતવણી આપી દીધી છે. જો આવક 6 લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો RTE હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલશેઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ RTE ના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ લઈ શકે તે માટે RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલવાનું છે. 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓ છે અને 13 પ્રકારના અગ્રતાક્રમ પ્રમાણે વાલીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશેવાલીઓને ચેતવણી આપતા રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1343 જેટલી શાળાઓમાં સ્વનિર્ભર શાળાઓના 14177 જેટલી સીટ પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ડિસેબલ વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. 6 લાખ સુધીની મર્યાદા હોવાથી આવકનો દાખલો અને ઈન્કમટેક્સ રિટર્નના પુરાવા હોવા પણ જરૂરી છે. તેમજ જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ RTEમાંથી તેમના બાળકનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે. અવારનવાર સ્પષ્ટતા કરવા છતાં વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવતા હોય છે. જો કોઈ વાલી ખોટી વિગત ભરશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વખત શાળા પસંદ કર્યા બાદ અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 11:40 am

GST નોંધણી રદ પ્રક્રિયામાં ગંભીર ગડબડ:વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતી, કરોડોની સરકારી આવકને નુકસાનની આશંકા; CAG રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતમાં GST સંબંધિત પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરમાં CAG (Comptroller and Auditor General) ના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે નોંધણી રદ (Cancellation of GST Registration) કરવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે સરકારને આવકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરાઈ નહોતીCAGના અહેવાલ મુજબ, કુલ 35 કેસોના પરીક્ષણ દરમિયાન 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરવામાં આવી નહોતી. કેટલાક કેસોમાં યોગ્ય અધિકારી દ્વારા નક્કી કરાયેલ તારીખ કરતાં પહેલાની તારીખથી નોંધણી રદ કરવામાં આવી હતી, જે નિયમ 22 હેઠળના પ્રાવધાનોનું ઉલ્લંઘન છે. નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયોઆ ઉપરાંત, નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયો હતો, જે વિભાગીય કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા કરે છે. ફોર્મ્સ યોગ્ય રીતે ભર્યા નહોતાઓડિટમાં વધુમાં જાણવા મળ્યું કે જરૂરી ફોર્મ્સ જેમ કે GST REG-16 અને GST REG-19 યોગ્ય રીતે ભરવામાં અથવા પ્રક્રિયા કરવામાં આવ્યા નહોતા. કેટલાક કેસોમાં GSTN પોર્ટલ પર સંબંધિત આદેશો ઉપલબ્ધ નહોતા, જેના કારણે પારદર્શિતાની ખામી સ્પષ્ટ થાય છે. નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતીCAG રિપોર્ટમાં આ પણ બહાર આવ્યું છે કે કેટલીક જગ્યાએ નોંધાયેલ વ્યક્તિઓએ નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતી. એક કેસમાં ₹61.16 લાખની કરપાત્ર રકમ જાહેર થયા છતાં વસૂલાત કરવામાં આવી નહોતી. જ્યારે બીજા એક કેસમાં ₹19.79 લાખ ટેક્સ, ₹9.79 લાખ વ્યાજ અને ₹1.99 લાખ દંડ નક્કી થયા છતાં યોગ્ય કાર્યવાહી અધૂરી રહી હતી. વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતીવધુમાં, કેટલીક નોંધાયેલ વ્યક્તિઓએ વાર્ષિક રિટર્ન (GSTR-4) ભર્યા વિના જ નોંધણી રદ કરાવી દીધી હતી, જે નિયમોના સીધા ભંગ સમાન છે. CAGએ નોંધ્યું છે કે સતત ત્રણ સમયગાળા સુધી રિટર્ન ન ભરનારાઓ સામે નોંધણી રદ કરવાની કાર્યવાહી કરવામાં પણ વિલંબ થયો હતો. યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ અપાતા હતાઅહેવાલમાં એ પણ જણાવાયું છે કે વિભાગ દ્વારા આંતરિક ચકાસણી, રિટર્ન સ્ક્રુટિની અને ઓડિટ પ્રક્રિયામાં પૂરતી કડકાઈ દાખવવામાં આવી નથી. Compliance સિસ્ટમ હેઠળ યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ આપવામાં આવતા હોવાના સંકેતો પણ મળી આવ્યા છે. CAG દ્વારા મુખ્ય ભલામણો નીચે કેટલાક મુખ્ય કેસોમાં થયેલી ગેરરીતિઓ દર્શાવવામાં આવી છે આ તમામ કેસોમાં સ્પષ્ટ છે કે રદ કરવાની તારીખ અરજી કરતાં પહેલાની રાખવામાં આવી હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. GST સિસ્ટમ માટે ચિંતાજનક ખુલાસાCAG રિપોર્ટમાં થયેલા આ ખુલાસાઓ GST સિસ્ટમ માટે ચિંતાજનક છે. પારદર્શિતા અને નિયમિતતા માટે બનાવાયેલી આ વ્યવસ્થામાં આવી ગેરરીતિઓ સિસ્ટમની વિશ્વસનીયતા પર અસર કરે છે. હવે જોવાનું રહ્યું કે રાજ્યનો કર વિભાગ આ મુદ્દે કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 11:22 am

આગ ઠારવા પાણી છાંટતા'તા ને બ્લાસ્ટ, VIDEO:'મમ્મી-પપ્પા'ની બૂમ સાંભળતા જ આસપાસના લોકો દોડ્યા, રાજકોટની સાધના સોસાયટીમાં થયેલ સિલિન્ડર બ્લાસ્ટનો લાઇવ વીડિયો

રાજકોટની સાધના સોસાયટીમાં ગતરોજ અચાનક બે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ભયાનક ઘટના સામે આવી છે. અશોક રૈયાણીના રહેણાંક મકાનની પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આખી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં પાર્કિંગ વિસ્તારમાંથી 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર પણ કબજે કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગેસ રિફિલિંગ અને કાળાબજારીના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવવાની તૈયારી ચાલી રહી છે. ફાયર વિભાગે બિલ્ડિંગને BU પરમિશન સહિતના જરૂરી દસ્તાવેજો આપવા માટે નોટિસ પણ ફટકારી છે. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગ અને ધુમાડાનું ભયાનક દૃશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ લાઈવ વીડિયોમાં એક વ્યક્તિ પાણીની પાઈપ લઈને ગેઈટ પાસેથી આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. તેની આસપાસ બીજા લોકો પણ તેમની મદદ કરવા માટે ઊભા હોય છે એટલામાં જ એકાએક ઘરમાંથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ મચી જાય છે. વીડિયોમાં કોઈ બાળક તેના પપ્પા માટે બૂમો પાડતુ પણ સંભળાય છે કહે છે કે, 'મમ્મી પપ્પા જો, એ મારા પપ્પા.' બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતાશહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો. જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા. જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 20 વર્ષનો યુવાન દાઝી ગયો હતો. આ દરમિયાન બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતા. જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું ફાયર બ્રિગેડ વિભાગનું અનુમાન છે. જોકે, મકાન માલિકના કહેવા પ્રમાણે પાણી ગરમ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો છે. જોકે, હાલ ફાયર બ્રિગેડ દ્વારા અહીં રહેણાંક મકાનમાંથી ગેસના બાટલા અને ડીઝલના કેરબા સહિતનો સ્ટોરેજ ખાલી કરી BU પરમિશન સહિતના માન્યતા ડોક્યુમેન્ટ આપવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાર્કિંગમા 40 સિલિન્ડર અને ડીઝલના 5 કેરબા પણ પડ્યા હતારાજકોટ ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, 27 માર્ચના બપોરે 12.55 વાગ્યે સહકાર મેઈન રોડ ઉપર સાધના સોસાયટી શેરી નંબર 2/5ના ખૂણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડી સાથે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બૂઝાવી નાખી હતી. આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટમાં (G+2) બિલ્ડીંગમાં નીચે પાર્કિંગમા અંદાજે 40 જેટલા ભરેલા LPG સીલીન્ડર તેમજ અંદાજે ડીઝલના 5 કેરબા તેમજ કેટરર્સ સામગ્રીનો જથ્થો હતો. આ ઉપરાંત કાર, એકટીવા, વાસપા પડેલું હતુ. પાણી ગરમ કરતા આગ લાગી હતીજેમાં 2 LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતા. જોકે ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા રહેવાશીઓ તેમજ આજુબાજુ વિસ્તારનાં લોકોની જાનહાનિ થતા અટકી હતી. આગમાં 20 વર્ષીય મોહિતભાઈ ગોહિલ દાઝી ગયા હતા. મકાન માલિક અશોકભાઈ રૈયાણીનાં જણાવેલ મુજબ પાણી ગરમ કરતા આગ લાગી હતી પરંતુ ઘટના સ્થળે LPG સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરવાની ઈલેક્ટ્રીક મોટર જોવા મળી હતી. આગને કારણે ચોક્કસ નુકસાનીનો આકડો જાણવા મળ્યો નથી. જોકે આગની ઘટના બનતા મકાન માલિકને રહેણાંક મકાનમાંથી તમામ સામગ્રીનો સ્ટોરેજ ખાલી કરવા અને તમામનાં માન્યતા ડોક્યુમેન્ટ, BU પરમિશન સર્ટીફીકેટ અને મંજુર પ્લાન ફાયર સ્ટેશને રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આગની ઘટના બનતા ભક્તિનગર પી.આઈ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પુરવઠા વિભાગે 40 ગેસ સિલિન્ડર, ડીઝલના બેરલ કબ્જે કર્યારાજકોટની સાધના સોસાયટીમાં લાગેલ આગ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ એન્ટ્રી દાખલ કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા 40 જેટલા ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા બેરલ કબજે કરવામાં આવ્યા છે.બ્લાસ્ટના પગલે પાર્કિગમાં રહેલ સાધન સામગ્રીને પહોચ્યું નુકશાન પહોંચ્યું છે. જેમાં બે વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બિલ્ડર, TRB જવાન દાઝ્યારાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી સાધના સોસાયટીમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અશોકભાઈના મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટતા ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 55 વર્ષીય બિલ્ડર શામજીભાઈ લાખાભાઈ પટેલ અને 20 વર્ષીય TRB જવાન મોહિત દીપકભાઈ ત્રિવેદી ગંભીર રીતે દાઝી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 11:16 am

8 મહિના બાદ આવતીકાલથી નવી મુંબઈ સાથે હવાઈ સેવાનો પ્રારંભ:ઈન્ડિગો એરલાઇન્સની ભાવનગર-નવી મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ, જાણો શું રહેશે સમય અને ભાડું

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ આવતીકાલે આઠ મહિના બાદ ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે, ભાવનગર -નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ આવતીકાલે રવિવાર ના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે, સવારે 8:35 અને સાંજે 8:50 આસપાસ બંને ફ્લાઈટ ઉડાન ભરશે અને આ ટ્રીપ માટે 3400 થી 7000 સુધી ભાડું રાખવામાં આવ્યું છે. ભાવનગરની બંધ થયેલી હવાઈ સેવા ફરી શરૂ કરાવવા માટે સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ સતત પ્રયત્નો કર્યા હતા, તેમના અથાગ પ્રયાસોને ભાવનગરના વતની અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે આ સંયુક્ત પ્રયાસોના પરિણામરૂપે ભાવનગર એરપોર્ટ ફરીથી નિયમિત હવાઈ સેવા સાથે જોડાઈ રહ્યું છે, આવતીકાલ રવિવારે સવારે 8:35 કલાકે ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈ માટે પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે, જેને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુ દ્વારા ફ્લેગ ઑફ કરવામાં આવશે,આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ અને ભીખાભાઈ બારૈયા તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસિયેશન ઉપસ્થિત રહેશે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર તપનકુમાર નાયક એ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્ડિગો એરલાઇન્સ ની બે ફ્લાઈટ સવાર સાંજ ભાવનગર થી નવી મુંબઈ સુધી ની બે ટ્રીપ થશે જેમાં સવારે 8:30 કલાક આસપાસ અને સાંજે 8:50 કલાક આસપાસ સમય રહેશે, એન આ એક કલાકના સમયગાળામાં નવી મુંબઈ એરપોર્ટ પર પહોંચશે, તેમજ આ ટ્રીપ માટે લોકોએ 3400 થી 7000 સુધી નું ભાડું રાખવામાં આવ્યું છે જેમાં આ વિશેષ પહેલરૂપે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ આવવા-જવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને આવતીકાલથી જ લોકો હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો દ્વારા એકસાથે બે ફ્લાઈટ સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી, પરંતુ ભાવનગરના પ્રવાસીઓને હવે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા અને નોર્થ-ઈસ્ટ જેવા સ્થળો માટે 'સેમ-ડે કનેક્ટિવિટી' મળશે, પ્રવાસીઓ હવે 4 થી 8 કલાકમાં ભારતના કોઈપણ છેડે પહોંચી શકશે, ભાવનગર થી નવી મુંબઈ અને નવી મુંબઈ થી ભાવનગરની ડેઈલી ફ્લાઈટ, હેરિટેજ, કોસ્ટલ અને એજ્યુકેશનલ ટુરિઝમમાં વધારો થવાની આશા, TAAB દ્વારા મેમ્બરશીપ વધારીને ભાવનગરના પ્રવાસન નકશાને મજબૂત બનાવવાની નેમ, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર-નવી મુંબઈ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસમાં બે ટ્રિપ સંચાલિત થવાની છે, આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસને વેગ મળશે, નવી મુંબઈ મારફતે દેશના અન્ય મહાનગરો માટે સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનવાથી હવાઈ પરિવહન ક્ષેત્રે ભાવનગર માટે મહત્વપૂર્ણ સુવિધા ઉભી થશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:57 am

ઈરાનમાં દક્ષિણ ગુજરાતના માછીમારો ફસાયા:યુદ્ધના ભય વચ્ચે ખલાસીઓને એરલિફ્ટ કરવા સરકારને પરિવારોની આજીજી;વિદેશ મંત્રાલયની મદદ મંગાઈ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલા વૈશ્વિક તણાવની સીધી અને માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજે 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિયામાં ફિશિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં આ માછીમારો આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. દરિયાઈ સુરક્ષા જોખમાતા બોટો કિનારે લાંગરી દેવાઈનવસારીના બીગરી, ભાટ અને ગણદેવી સહિતના વિસ્તારોના ખલાસીઓ વર્ષોથી ઈરાનમાં ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. હાલની અશાંતિને કારણે દરિયાઈ સુરક્ષા જોખમાતા તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યોઈરાનમાં ફસાયેલા કેટલાક મુખ્ય ખલાસીઓના નામ આ મુજબ છે:મૈસકુમાર રામદાસભાઈ ટંડેલ – ભાટ, નવસારીમનોજકુમાર શાણીયાભાઈ ટંડેલ – ભાટ, નવસારીનવીનકુમાર રવજીભાઈ ટંડેલ – નવસારીહેમંતકુમાર નરોત્તમભાઈ ટંડેલ – સાલાબત, નવસારીમહેશકુમાર આનંદજી બારીયા – મરોલીરતિલાલ હરિભાઈ ટંડેલ – નાની દાંતીમુકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ – બીગરી (મસ્કારા ફળિયા), ગણદેવીઆ ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા પરિવારનો સંપર્ક કરી ભારત પરત આવવા માટે મદદ માંગી છે. એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા રજૂઆતહિન્દુ માછી સમાજના અગ્રણી બલવીરભાઈ રામભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના માછીમારો પોતાની દક્ષતાને કારણે ઈરાનમાં ભાગીદારીમાં અથવા બોટ પર કામ કરે છે. હાલ અંદાજે 700 જેટલા ભારતીયો પરત આવવા મથામણ કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકર અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે. તેમજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે પણ ચર્ચા કરી માછીમારોને વહેલી તકે સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:56 am

વાંકાનેરમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીને શ્વાને ફાડી ખાધી:અરણીટીંબા ગામેથી મૃતદેહ મળ્યો; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને ખુલ્લામાં ત્યજી દીધી હતી, જેના કારણે તે શ્વાનોનો શિકાર બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીની ઓળખ કરવા અને તેની માતાને શોધી કાઢવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:54 am

QR કોડમાં છેડછાડ કરીને લાખોની ઠગાઈ:અજય મોદી ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન આપતા યુવતીએ QR કોડથી ગ્રાહકોના 33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા

અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડી કરી છે. આ કંપનીમાં કામ કરતી મહિલાએ બુકીંગના નામે 33.87 લાખની છેતરપિંડી આચરી છે. મહિલાને ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ન મળતા તેણે બુકીંગ પર કમિશનના નામે વ્યવસાય કર્યો હતો. મહિલાએ QR કોડમાં સેટિંગ કરીને ગ્રાહકોના નાણાં બારોબાર હડપ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો છે. બુકિંગ આપવા બદલ કમિશન આપવાનું નક્કી કર્યુ હતુંવસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીની કંપનીમાં ચારેક વર્ષ પહેલા ઉન્નતિ પટેલ (રહે.ગણેશ પરિસર, જગતપુર) નામની યુવતી કામ કરતી હતી. ઉન્નતિએ થોડા સમય પહેલા ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝીની માંગણી કરી હતી, પરંતુ આલાપ મોદીએ ફ્રેન્ચાઇઝી આપવાની ના પાડી હતી. બુકિંગ આપવા બદલ ઉન્નતિને કમિશન આપવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઉન્નતિએ ગાંધીનગરની કુડાસણ સ્થિત એક બેંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ ખોલાવીને QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે, તેમાં અજય મોદી ટ્રાવેલ્સ બતાવવામાં આવતુ હતું. બુકિંગના પૈસા ઉન્નતિના એકાઉન્ટમાં જતા હતાઉન્નતિએ કરેલી ગોઠવણના કારણે બુકિંગના પૈસા ઉન્નતિના એકાઉન્ટમાં જતા હતા. ફક્ત એટલું જ નહી તે એર ટિકિટ બુક કરાવતી, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતાં ગ્રાહકોએ આલાપભાઇને ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસ કરતા ઉન્નતિએ આચરેલા કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો. ઉન્નતિ પટેલે ગ્રાહકો પાસેથી 33.87 લાખની છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:36 am

થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત

થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણથી ચાર લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:34 am

ભરૂચમાં નિરાધાર મહિલાને પતિ-નણંદે ઘરમાંથી કાઢી મૂકી:181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક પીડિત મહિલા સહાય માટે પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની પણ ધમકી આપવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેને રોજિંદા મજૂરી કામે મોકલવામાં આવતી હતી. તેની કમાણી પતિ અને નણંદ લઈ લેતા હતા. પૈસા આપવાનો ઇનકાર કરતાં તેની સાથે શારીરિક હિંસા કરવામાં આવતી હતી. ઉપરાંત, મહિલાને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો. મહિલાને સંતાન નથી અને માતા-પિતાનો સહારો પણ ન હોવાથી તે સંપૂર્ણપણે નિરાધાર બની ગઈ હતી. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે તેના પતિએ તેના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સળગાવી દીધા છે. આ કારણે તેની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બાકી રહ્યો નથી. હાલ તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી. મહિલાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝઘડિયા પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. 181 અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડઓવર કરી. ત્યાં તેના રહેવા તેમજ જરૂરી સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:34 am

અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો

અમરેલી તાલુકા પોલીસે કુકાવાવ રોડ પર આવેલ નારાયણ મીલની કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ફરિયાદી રાહુલભાઈ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા (રહે. નારાયણ મીલ કોલોની, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) એ ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના મકાનને તાળું મારી વતન ગયા હતા, તે દરમિયાન અજાણ્યા આરોપીએ તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત આશરે રૂ. 1,51,500/- નો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજુલા પીઆઇ ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સઘન તપાસ અને પૂછપરછ બાદ પોલીસે અભિષેક ભરતસિંહ કુસ્વાહા (રહે. નારાયણ મીલ ક્વાર્ટર, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,12,000/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેઇન (8 ગ્રામ, રૂ. 55,000), સોનાનો ટીકો (4 ગ્રામ, રૂ. 32,000), સોનાની વીંટી (રૂ. 15,500), ચાંદીની ગાય (રૂ. 2,000), ચાંદીનો કંદોરો (રૂ. 5,000), ચાંદીનો સિક્કો (રૂ. 1,000) અને સોનાટા કંપનીની ઘડિયાળ (રૂ. 1,500) નો સમાવેશ થાય છે. એસપી સંજય ખરાત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને સૂચનાઓને કારણે અમરેલી તાલુકા પોલીસે આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:24 am

કલોલમાં પશુચોર ગેંગનો આતંક યથાવત:એક જ રાતમાં કોઠા અને મોખાસણ સીમમાંથી શંકર ગાય સહિત 4 પશુઓની ચોરી કરી પલાયન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પશુ ચોર ગેંગનો આતંક યથાવત હોય તેમ કોઠા અને મોખાસણ ગામની સીમમાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર પશુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે કુલ 40 હજારના પશુઓની ચોરીનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ઘરની પાછળ વાડામાં સૂતા હતા ત્યારે ચોરી થઈકલોલ તાલુકાના કોઠા ગામે રહેતા અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા કાનજીભાઈ બળદેવભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 26 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે તેઓ પોતાના ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડામાં 45 જેટલી ગાયો દોહીને સૂઈ ગયા હતા. વહેલી સવારે ગાયો દોહવા ગયા ત્યારે ગાયો ગુમ હતીઆ દરમિયાન કોઈ પશુ ચોર ટોળકીએ વાડામાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો વાડામાં બાંધેલા પશુઓ પૈકી 30 હજારની કિંમતની એક લાલ રંગની દેશી ગાય અને એક કાળી શંકર ગાયની સાંકળ ખોલી ચોરી કરી ગયા હતા. વહેલી સવારે જ્યારે કાનજીભાઈ પશુઓ દોહવા માટે વાડામાં ગયા ત્યારે ગાયો ગુમ જણાતા તેમણે આસપાસના ખેતરોમાં શોધખોળ હાથ ધરી હતી. મોખાસણમાં પણ બે વાછરડી ચોરાઈત્યારે જાણવા મળ્યું હતું કે મોખાસણ ગામની સીમમાં રહેતા ગગાભાઈ માલુભાઈ ભરવાડની પણ 10 હજારની કિંમતની બે વાછરડીઓ ચોરાઈ છે. આમ તસ્કરોએ એક જ રાત્રિમાં બે અલગ અલગ પશુપાલકોને નિશાન બનાવી કુલ 40,000ની કિંમતના ચાર પશુઓની ચોરીને અંજામ આપતા કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:13 am

આવતીકાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ:કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી આ 2 દિવસ દરમિયાન 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણીઆગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 28 અને 29 માર્ચ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌથી વધારે રાજકોટ 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર 37 ડિગ્રી તાપમાન નોંધાયું. લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આ પણ વાંચો: 6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:01 am

સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં યુવાનનો આપઘાત:રાજસ્થાનના યુવકે વડલા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના રહેવાસી 25 વર્ષીય વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકે વડલા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિષ્ણુ પ્રજાપતિ સોમનાથ વિસ્તારમાં આઈસ્ક્રીમની વેનમાં કામ કરતો હતો અને રોજગાર માટે અહીં રહેતો હતો. આ ઘટના સદભાવના ગ્રાઉન્ડ નજીક બનતા, તેની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા યુવક જ્યાં નોકરી કરતો હતો તે આઈસ્ક્રીમ વેનના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછનો હેતુ આપઘાત પાછળના કારણો સુધી પહોંચવાનો છે. હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પોલીસ વ્યક્તિગત, આર્થિક કે અન્ય કોઈ કારણો જવાબદાર હોઈ શકે તેવી તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. સોમનાથ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળે બનેલી આ ઘટના લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે જ હકીકત સામે આવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:48 am

રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી છે.ગઠિયાઓએ બિલ્ડરને સેબીનો લેટર મોકલીને રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને 76.85 લાખ રૂપિયા પડાવ્યા હતા.બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. રોકાણની ટીપ્સ આપી હતીમેમનગરમાં રહેતા બિલ્ડર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ રહ્યા હતા ત્યારે શેર બજારની એડ જોઈને બિલ્ડરે લિંકમાં ક્લિક કરતા ગ્રુપમાં એડ થયા હતા.બિલ્ડરે ગ્રુપમાં શેરબજારના રોકાણને લગતી ટિપ્સ જોઈ હતી. બિલ્ડરને એક યુવતીનો મેસેજ આવ્યો હતો જેને પોતાની ઓળખ આદિત્ય બિરલા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી જે બાદ યુવતીએ બિલ્ડરને રોકાણ માટેની ટીપ્સ આપી જે રોકાણ કરવાથી બિલ્ડરને ફાયદો થતો હતો. નફો ઉપાડવા જતા સર્વિસ ચાર્જ ભરવા જણાવ્યુંબિલ્ડરને યુવતી પર વિશ્વાસ આવતા યુવતીની વાતોમાં આવીને વધુ નફો મેળવવા યુવતીના કહ્યા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.આ એપ્લીકેશનમાં યુવતીના કહ્યા મુજબ ટુકડે ટુકડે 76.95 લાખ રૂપિયા ભર્યા હતા જેની સામે 8.86 કરોડ નફો બતાવતા હતા.બિલ્ડરે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે 15 ટકા સર્વિસ ચાર્જના નામે 1.32 કરોડ ભરવાનું જણાવ્યું હતું જેથી બિલ્ડરને શંકા જતા સાયબર ક્રાઇમમાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:41 am

'નેક્સ્ટ ટારગેટ ક્યુબા...' ટ્રમ્પે કહ્યું - હું તેને આઝાદ કરાવીશ કાં પછી એના પર કબજો કરી લઈશ

Donald Trump on Cuba : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિમાં વધુ એક મોરચો ખોલવાના સંકેત આપ્યા છે. મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન અને વેનેઝુએલા બાદ હવે 'ક્યુબાનો વારો છે'. ટ્રમ્પના આ નિવેદનથી કેરેબિયન દેશમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ધમકી ટ્રમ્પે પોતાની સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે એક વિશાળ સેના બનાવી છે.

ગુજરાત સમાચાર 28 Mar 2026 9:37 am

ખોટા બિલ રજૂ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોચનાદ ખીલાસરી ચોરી કેસમાં દોઢ વર્ષ બાદ કાર્યવાહી

સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી છે. આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જાન્યુઆરી, 2025 થી 27 જાન્યુઆરી, 2025 દરમિયાન બની હતી. પાંચ જેટલા શખ્સોએ કાવતરું રચીને એક ટ્રેલરમાં ભરેલી રૂ. 1,74,000ની કિંમતની 3490 કિલો ખીલાસરીની ચોરી કરી હતી. પાટણ એસ.ઓ.જી. પોલીસે 25 જાન્યુઆરી, 2025ના રોજ આ ખીલાસરીનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આરોપીઓએ આ જથ્થો છોડાવવા માટે પોલીસ અને સમી કોર્ટ સમક્ષ ખીલાસરીના ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ખોટા બિલોના આધારે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરીને તેને છોડાવી લેવાયો હતો. આ ગુનામાંથી છૂટી જવા અને આર્થિક લાભ મેળવવાના હેતુથી ખોટા બિલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને કોર્ટ અને પોલીસ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે સમી પોલીસે 14 એપ્રિલ, 2025ના રોજ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, આ કેસમાં નાસતા ફરતા આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી), રહે. નોખડા, ગુરુઓં કા તલા, તા. નોખડા, જી. બાડમેરની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં તેનું નામ સામેલ હતું. રાવતારામની ભૂમિકા એવી હતી કે, તેનો સાથી અમરતજી ઠાકોર તેની સાથે નોકરી કરતો હતો. અમરતજીએ રાવતારામને ખીલાસરીની જરૂર હોવાથી ટ્રેલરમાં ખીલાસરી ભરાય અને રાધનપુર જવાનું થાય ત્યારે જાણ કરવાનું કહ્યું હતું. 24 જાન્યુઆરી, 2025ના રોજ રાવતારામ બીજા ડ્રાઈવર અને ક્લીનર સાથે ભાવનગરથી રાધનપુર જવા નીકળ્યો હતો. 25 જાન્યુઆરી, 2025ના રોજ સમીથી રાધનપુર જતી વખતે અમરતજીએ ખીલાસરીને સમીના ગોચનાદ ગામ પાસેની રામદેવ હોટલ પાસે ઉતારવાનું કહ્યું હતું. ત્યાં તેમણે લગભગ ચાર ટન ખીલાસરી ઉતારી હતી, જ્યારે બાકીનો જથ્થો રાધનપુરમાં ઉતાર્યો હતો. પોલીસે આ જથ્થો પકડ્યા બાદ તેને કોર્ટમાંથી છોડાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, તપાસમાં તેમની પોલ ખુલ્લી પડી જતાં ગુનો નોંધાયો હતો અને આ નાસતો ફરતો આરોપી હવે ઝડપાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:31 am

હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ

હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ જવારાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી ઉતારી હતી. નવ દિવસીય ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરમાં ભજન-કીર્તન, આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:12 am

શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલી આ આગ શરૂઆતમાં ધુમાડા સ્વરૂપે દેખાઈ હતી, પરંતુ જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા જંગલ વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં બીજી વખત આગ લાગી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:08 am

વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત

વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા પ્રત્યે બેદરકાર બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે શ્વાનોના ટોળા રસ્તાઓ પર દોડધામ મચાવે છે. જેના કારણે નોકરી પરથી પરત ફરતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક પરિવારોએ તો પોતાના સભ્યોને રાત્રે બહાર ન નીકળવા ચેતવણી આપવી પડી છે. આ વિસ્તારમાં શ્વાનોના હુમલાથી અનેક લોકો ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે વોર્ડ નં. 5ના રહીશોમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે જોવું રહ્યું કે વેરાવળનું તંત્ર લોકોની આ વાજબી માંગણીને કેટલી ગંભીરતાથી લે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:06 am

ખેડા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, બાઇક ચાલક ગંભીર:ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રક-આઇસર-બાઇક વચ્ચે ટક્કર, ચાલકો ફરાર

ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી આવી રહેલો એક બાઇક સવાર પણ તેની અડફેટે આવી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ ટ્રક અને આઇસર કન્ટેનરના ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:18 am

નાના મવા રોડ પરની મારવાડી બિલ્ડિંગમાં ભીષણ આગ:જ્વાળા ચાર માળ ઊંચે પહોંચી, 5 ફાયર ફાઈટર ટીમ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં સાઈડના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી રહી છે. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાનઅચાનક લાગેલી આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મારવાડી ફાયનાન્સ ઓફિસમાં બિલ્ડિંગમાં પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યોમેજર કોલ જાહેર કરી 5 ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ લાગવાની જાણ થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ આગ સંપૂર્ણ કાબુમાં છે અને કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:16 am

નારણપુરામાં રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમ યોજાયો:ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં સામૂહિક રામધૂન અને આરતી કરાઈ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નારણપુરા જિલ્લાના સોલા રોડ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન અવસર પર રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, 27 માર્ચ, 2026ના રોજ સોલા રોડ પ્રખંડમાં આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો. આ રામોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ અપાયું હતું. ઉપસ્થિત સૌ લોકોએ સાથે મળીને સામૂહિક રામધૂન અને આરતી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં રામોત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય સહમંત્રી અને સત્સંગ પ્રમુખ દાદા વૈદિકજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, નારણપુરા જિલ્લાના સહયોજિકા હેતલબેન, જયશ્રીબેન અને નીતાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપેન્દ્રભાઈ, પરાગભાઈ, જિમ્મીભાઈ અને ચિંતનભાઈ સહિત અન્ય અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:15 am

હિંમતનગરમાં જગન્નાથધામ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભક્તિભાવપૂર્ણ આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા જગન્નાથધામ ખાતે શુક્રવારે રાત્રે શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે રામધૂન, ભજન-કીર્તન અને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી હતી. કાર્યક્રમ દરમિયાન પુષ્પ અભિષેક પણ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો. મહોત્સવના અંતે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પોતાના પરિવાર સાથે હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર વિસ્તારમાં ઇન્દ્રનગર ગાર્ડન ખાતે યોજાયો હતો. જેમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:02 am

મંત્રી કાંતિ અમૃતિયાએ દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી:મોરબીમાં જાહેર સભામાં શાંતિ જાળવવા ટકોર; કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આગમન થયું

મોરબીના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથીની અંબાડી પર રેલી યોજાઈ હતી અને બાદમાં બાપાસીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી કરનારાઓને કડક ચેતવણી આપી હતી. મંત્રી અમૃતિયાની કેન્સરની સફળ સારવાર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. મોરબીના દરબારગઢથી બાપાસીતારામ ચોક સુધી તેમની રેલી યોજાઈ હતી, જેમાં તેમને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા. મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તરીકે તેઓ ફરીથી સક્રિય થયા છે. જાહેર સભાને સંબોધતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની શાંતિ અને સલામતી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજકીય કે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમના ટેકેદારો અને શહેર ભાજપની ટીમે જુદા જુદા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ અને ખોખરા હનુમાન મંદિરે યજ્ઞનું આયોજન કર્યું હતું. આશીર્વાદ અને સમર્થન બદલ તેમણે પોતાના ટેકેદારો, ટીમ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સભાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાંતિભાઈની સારવાર દરમિયાન કેટલાક લોકો દ્વારા કુપ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે પરોક્ષ રીતે વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:45 am

રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો:1 એપ્રિલથી સવારના સત્રમાં શરૂ થશે વર્ગો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે. આગામી 1લી એપ્રિલ, 2026 થી શાળાઓ સવારના સત્રમાં કાર્યરત રહેશે, જેથી બાળકોને બપોરની આકરી ગરમીનો સામનો ન કરવો પડે. આ નવા સમયપત્રક મુજબ, શાળાઓ સવારે 7:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) બી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય અને પીવાના પાણીની સમસ્યા જેવી સ્થિતિમાં રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6ઠ્ઠી એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા દરમિયાન બાળકો શાંત અને ઠંડા વાતાવરણમાં પેપર લખી શકે તે માટે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ના નિયમો અને બાળકોના હિતને સર્વોપરી ગણીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે વાતાવરણ ઠંડુ હોવાથી બાળકો અભ્યાસમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. શાળાના સમયમાં થયેલા આ ફેરફારને વાલીઓએ પણ આવકાર્યો છે. બપોરના સમયે ઊંચા તાપમાનને કારણે બાળકોને ઘરે પરત ફરતી વખતે લૂ લાગવાનો ભય રહેતો હતો, જે હવે સવારની શાળાઓને કારણે ઓછો થશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:29 am

ગાંજો ઝડપાયો:કાઠડા ત્રણ રસ્તા પાસેથી 66 હજારના ગાંજા સાથે 1 પકડાયો

માંડવી-નલિયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી એસઓજીએ કારમાં રૂપિયા 66 હજારની કિંમતના 1.321 કિલો ગાંજાનો જથ્થો લઇને જતા માંડવીના આરોપીને ઝડપી લીધો હતો. એસઓજીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માંડવીમાં રહેતો આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ સફેદ કલરની કાર નંબર 7688 વાળીમાં ગાંજાનો જથ્થો લઇને શીતલા મંદિર વિસ્તારમાં હેરાફેરી કરે છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહેતા કાઠડા ત્રણ રસ્તા પાસે આરોપીની કાર દેખાઈ હતી.જેને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની કારમાં તપાસ કરતા ખાલી સાઈડની સીટ નજીકથી કેસરી કલરની થેલીમાં રાખેલ રૂપિયા 66,050 ની કિંમતનો 1.321 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા મામલે પૂછપરછ કરતા પોતે પાંચેક દિવસ પહેલા ગાંધીધામથી અભિષેક કુમાર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 48 હજારમાં ૩ કિલો ગાંજાનો જથ્થો ખરીદી આવ્યો હતો અને બાકીનો જથ્થો પોતે છુટકમાં વેચાણ કરી દીધો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:04 am

સુરતના 25,000 કરોડના સોલારના ઓર્ડર પર સંકટ:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે રો-મટીરિયલની અછત, કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારો; ઉદ્યોગપતિઓની ઉંઘ હરામ

હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટના મોરચે આવીનું ઉભ રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્યારે 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે. દેશના કુલ ઉત્પાદનમાં 55% સુરતનો સિંહફાળો હિસ્સોભારતમાં સોલાર એનર્જી ક્ષેત્રે સુરત એક હબ તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. આ આંકડો દર્શાવે છે કે જો સુરતના ઉદ્યોગને આંચકો લાગે તો તેની અસર આખા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર પડી શકે છે. યુદ્ધને કારણે આ વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અત્યારે અનિશ્ચિતતાના વાદળો નીચે ઘેરાયેલી છે. સપ્લાય ચેઈન ખોરવાતા રો-મટીરિયલની અછતયુદ્ધની સૌથી મોટી અને તાત્કાલિક અસર સપ્લાય ચેઈન પર પડી છે. સોલાર પેનલ બનાવવા માટે જરૂરી મહત્તમ રો-મટીરિયલ ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, જેના કારણે કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારોવૈશ્વિક અશાંતિને કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે વધીને 3,500 થી 4,000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાએ સુરતના મેન્યુફેક્ચરર્સની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડતા ઉત્પાદન ખર્ચમાં વધારોઆંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને રૂપિયાનું અવમૂલ્યન સુરતના ઉદ્યોગકારો માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થયું છે. હાલમાં ડોલર 94-95 રૂપિયાની રેન્જમાં પહોંચી જતાં આયાત થતા રો-મટીરિયલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. 25,000 કરોડના ઓર્ડર અને 'ફિક્સ પ્રાઈસ'નો ફાંસોસુરતના સોલાર ઉદ્યોગ પાસે હાલમાં 25,000 કરોડના ઓર્ડર છે જે આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવાના છે. સૌથી મોટી મુસીબત એ છે કે આ ઓર્ડર 'ફિક્સ પ્રાઈસ' એટલે કે અગાઉ નક્કી કરેલા ભાવે લેવામાં આવ્યા છે. હવે કાચા માલ અને ટ્રાન્સપોર્ટના ભાવ વધવા છતાં, ગ્રાહકો જૂના ભાવે જ માલ માંગશે. આ પરિસ્થિતિમાં ઉત્પાદકોએ પોતાની ખિસ્સામાંથી નુકસાન ભોગવીને ઓર્ડર પૂરા કરવા પડશે. નફાને બદલે 20% નુકસાન વેઠવાની નોબતઉદ્યોગપતિઓના મતે, વર્તમાન પરિસ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર બેસી રહી છે. લાખો-કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટમાં નફો થવાની આશા હતી, તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સુરતના નાના અને મધ્યમ કદના સોલાર એકમો માટે આ અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડોસુરત માત્ર દેશમાં જ નહીં, પણ મિડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ સોલાર પેનલ્સ એક્સપોર્ટ કરે છે. યુદ્ધની સ્થિતિ પશ્ચિમી દેશોમાં વધુ ગંભીર હોવાથી ત્યાંની શિપિંગ લાઈન્સ અવેલેબલ નથી. જે શિપિંગ લાઈન્સ ચાલુ છે તે ખૂબ જ લેટ ચાલી રહી છે. ઉંચા શિપિંગ રેટને કારણે વિદેશી ગ્રાહકોને માલ મોકલવો હવે પરવડે તેમ નથી, જેના કારણે એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાના નવા ઓર્ડર પર 'બ્રેક'આગામી જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટે અત્યારથી જ ચિંતા ફેલાઈ ગઈ છે. ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ નવો ઓર્ડર ક્લોઝ થઈ રહ્યો નથી. ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઉત્પાદકો ઉંચા ભાવ વગર ઓર્ડર લેવા તૈયાર નથી. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચાર મહિનામાં સુરતની ફેક્ટરીઓ કેટલા ટકા ચાલશે અને શ્રમિકોને કામ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સુરતના અર્થતંત્ર પર મોટું જોખમજો સોલાર ઉદ્યોગમાં આ મંદી લાંબી ચાલશે, તો તેની અસર સુરતના એકંદર અર્થતંત્ર પર જોવા મળશે. હજારો પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ વૈશ્વિક કટોકટીમાં તેમને કોઈ રાહત મળે અથવા ઇમ્પોર્ટ ડ્યુટી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવે. હાલમાં તો દરેકની નજર યુદ્ધના મેદાન પર છે, કારણ કે ત્યાં શાંતિ સ્થપાશે તો જ સુરતના કારખાનાઓમાં 'સોલાર' ચમક પાછી આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ

પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે? તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો. આખા મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંદાજે 22,700 ડગલાંની 21 કિમીની નર્મદા પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લાના રામપુરાથી પરિક્રમાનો આરંભ થાય છે. આ વર્ષે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયુંપવિત્ર યાત્રાધામ દ્વારા આ વર્ષે પરિક્રમાવાસીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી જ પરિક્રમાવાસીઓને આગળ જવા દેવામાં આવે છે. રાજપીપળાથી રામપુરાના માર્ગ ઉપર જઈએ તો ત્યાં જ પોલીસ રોકશે અને ત્યાં રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. બાદમાં જ પરિક્રમા માટે રામપુરા પહોંચી શકાય છે. ઉત્તરવાહીની પરિક્રમાનું માહાત્મ્યનર્મદા નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ નર્મદાના સમગ્ર પટમાં અમુક જ સ્થાનો એવા છે જ્યાં નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. નર્મદાના આ સ્વરૂપને ઉત્તરવાહિની નર્મદા કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા અને રાજપીપળા નજીક રામપુરા પાસે નર્મદા નદી ઉત્તર તરફ વળતી હોવાથી આ 21 કિલોમીટરના પટમાં પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં આ પરિક્રમાનું મહત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆતનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. ત્યાંથી માંગરોળ, તપોવન આશ્રમ અને ગોપાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ પરિક્રમા આગળ ધપે છે. ગોપાલેશ્વર મંદિરથી સીતારામ મંદિર અને ત્યારબાદ નર્મદા નદીના પટમાં ચાલવાનું હોય છે. નર્મદા નદીને પાર કરી તિલકવાડા ખાતે પહોંચી શકાય છે. પરિક્રમા સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુંનર્મદા પરિક્રમાના માર્ગ ઉપર સ્વચ્છતાને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દર 50 મીટરના અંતરે કચરા પેટીઓ મૂકવામાં આવી છે. નદીમાં પ્લાસ્ટિક કચરો ન નાખવો તે અંગેના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. માર્ગ ઉપર મુકાયેલી કચરાપેટીઓ પરિક્રમાવાસીઓને જ્યાં ને ત્યાં કચરો ન નાખવા માટે પ્રેરે છે. સ્થાનિક સખી મંડળોને રોજગારીનર્મદા પરિક્રમાના મધ્ય પડાવ સમાન સીતારામ બાદ જ્યાંથી નર્મદા નદી પગદંડી મારફતે પાર કરવાની છે, ત્યાં સ્થાનિક સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા છે. અહીં આ બહેનો દ્વારા ચા- નાસ્તાના સ્ટોલ કરવામાં આવ્યા છે. લોકોને વ્યાજબી ભાવે અહીંથી ચીજવસ્તુઓ મળે છે. સખી મંડળના સંગીતા બહેને જણાવ્યું હતું કે, અહીં સરકારે અમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપ્યા છે. અમે અહીં સખી મંડળની બહેનો રોજી-રોટી કમાઈએ છે. અમે નજીવી કિંમતે ચીજ-વસ્તુઓનું વેચાણ કરીએ છે. પગદંડી વાળા માર્ગે સુરક્ષા વ્યવસ્થાજ્યાંથી પગદંડી મારફતે નર્મદા નદી પાર કરવાની હોય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પગદંડી ઉપર બંને તરફ નેટ લગાવવામાં આવી છે. પરિક્રમા કરતા લોકો તેના ઉપરથી સહેલાઈથી પસાર થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માર્ગ ઉપર સેવાની ધૂણીપરિક્રમાના માર્ગ ઉપર આસપાસના ગામના લોકો દ્વારા સેવાની ધૂણી ધખાવવામાં આવી રહી છે. આખી રાત લોકો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓની ખૂબ સેવા કરે છે. કેટલાક સ્થળોએ નાસ્તો તો કેટલાક સ્થળોએ સંપૂર્ણ ભોજનની પણ વ્યવસ્થા છે. ગ્રામજનો દ્વારા કોઈ પણ અપેક્ષા વગર સેવાની ધૂણી ધખાવવામાં આવી છે. મણિનાગેશ્વર મંદિર સુધી અને બાદનો માર્ગ પરિક્રમામાં રોમાંચ પૂરે છેતિલકવાડા નજીક પહોંચ્યા બાદ મણિનાગેશ્વર મંદિર આવે છે, જ્યાં દર્શન કર્યા બાદ આસપાસ ખેતરોની વચ્ચેથી પગદંડી પરિક્રમા માર્ગમાં રોમાંચ પૂરે છે. પરિક્રમા કરનારા લોકો માટે આ માર્ગ ઉપર અદ્ભુત અનુભૂતિ કરે છે. અહીં પરિક્રમાવાસીઓ માટે લાઇટિંગની પણ સારી સુવિધા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને અહીં અગવડતા નથી પડતી. શ્રદ્ધાળુઓ માટે આરામ માટેની પણ વ્યવસ્થાશ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં બેસવા તેમજ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાટલા અને તેના ઉપર ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં આરામ કરી શકે છે. અહીં માત્ર ગુજરાત જ નહી, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ અહીંની વ્યવસ્થાની સરાહના કરી રહ્યા છે. પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુએ અહીંની વ્યવસ્થા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન લોકોએ ગરબાની મજા લીધીપરિક્રમાના માર્ગ ઉપર સાઉન્ડ સિસ્ટમ ઉપર સતત નર્મદાષ્ટકમ અને ધાર્મિક ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમ ઉપર ગરબા વગાડતા સાથે જ શ્રદ્ધાળુએ ત્યાં જ ગરબાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતીઓની ઓળખ એવા ગરબા પરિક્રમામાં પણ જોવા મળ્યા હતા. પરિક્રમા પૂર્ણ કરતા પાંચથી સાત કલાકનો સમય લાગે નર્મદા પરિક્રમા પૂર્ણ કરતા અંદાજે પાંચથી સાત કલાકનો સમય લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિ આ પરિક્રમા 5 કલાકમાં પૂર્ણ કરી શકે છે અને વૃદ્ધ વ્યક્તિને પરિક્રમા પૂર્ણ કરતા સાત કલાક જેટલો સમય લાગે છે. સામાન્ય દિવસોમાં બોટમાં ભીડ નથી હોતી, પરંતુ રજાના દિવસોમાં બોટમાં બેસવા કતારમાં રહેવું પડે છે. બોટમાં લાઇફ જેકેટની વ્યવસ્થાઆ વખતે નર્મદા પરિક્રમા માટે નદી પાર કરી રામપુરા પરત પહોંચવા માટે વિશેષ બોટ મંગાવવામાં આવી છે. આ બોટમાં તમામ લોકો માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 50 રૂપિયા ખર્ચીને બોટમાં બેસવું પડે છે અને લાઇફ જેકેટ વગર બોટમાં બેસવા દેવામાં આવતા નથી. રામપુરા ખાતે આ પરિક્રમા પૂર્ણ થાય છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

આનંદીબેન પટેલે વડીલ તરીકે શું સલાહ આપી?:વિદ્યાર્થીઓએ કુલપતિને દોડાવ્યા, ઘેરી વળ્યા તો સાહેબે ખાતરી આપી, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:00 am

માનસ મુકુરાષ્ટક રામકથાનો 7મો દિવસ:જગત કલ્યાણ અને મંગલકાર્યો માટે પ્રભુ રામે જન્મ લીધો

માધાપરમાં મોરારીબાપુના વ્યાસપીઠે અને યજમાન ધીરેન મનજી દબાસિયા પરિવાર દ્વારા ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથાની ભક્તિગંગામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો લાભ લે છે. કથાના સાતમા દિવસે બાપુએ માધાપર અને કચ્છની ભૂમિની સરાહના કરતા જણાવ્યું હતું કે માધાપર ગામમાં ભક્તિની ગંગા વહે છે. કચ્છડો લીલુંછમ અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં પણ પશુ બલી થતી હોય એમાંથી બહાર આવજો. સાથે ઉમેર્યું કે અમુક પ્રકારનું ખોરાક ભોજન ન કરવું તેમજ અમુક પ્રકારનું પીણું પણ ન પીવું જોઈએ. માતૃભાષા અને પરિવારનું જતન કરજો. ધ્રુવ જેવું વિશ્વાસ રાખશો તો ક્યારેય મન પણ ભટકશે નહીં. સનાતન ધર્મની અવગણના કરે એવા લોકોથી દૂર રહેવું. જગતના કલ્યાણ માટે અને એમના મંગલ કાર્યો માટે ભગવાન શ્રીરામે જન્મ લીધું છે. ભગવાન રામ આદિ અનાદી છે. વિશિષ્ઠ મુનીએ ચારે રાજકુમારોનું નામકરણ કરી મંગલકામના કરી હતી. લોકો ભક્તિભાવમાં તરબોળ થયા હતા. કથામાં જયશ્રી માતાજી, જયદેવ ગોસાઈ, જગદીશ ત્રિવેદી, બાબુભાઈ આહિર, કાનજી સેજપાલ, શિવરામભાઈ, દિનેશ સાધુ, દાદુભા ચોહાણ વગેરે સંતો, મહંતો હાજર રહ્યા અને રામ નામની ભક્તિમાં લીન બન્યા હતા. સમગ્ર માધાપર રામમય બન્યું હતું. રામકથામાં મોરારીબાપુએ જીવન ઉપયોગી વિવિધ ધાર્મિક તેમજ પ્રાસંગિક ઉપદેશો ભાવિકોને આપ્યા હતા. જેને શ્રોતાઓએ ભાવપૂર્વક ગ્રહણ કર્યા હતા. ‘40 વર્ષ પહેલાની રામકથાનું હું પાકેલું ફળ’ : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી રામનવમીના માધાપર આર્ષ અધ્યયન કેન્દ્રની રામકથાકાર મોરારીબાપુએ મુલાકાત લીધી હતી. અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ વિનમ્રતા અને આદર સાથે બાપુનું અભિવાદન કર્યું હતું. આ મુલાકાત માત્ર એક શિષ્ટાચાર ન બની રહેતા જ્ઞાન અને ભક્તિના સંગમ સમાન સાબિત થઈ હતી. ભૂતકાળના સ્મરણો વાગોળતા સ્વામીજીએ હૃદયસ્પર્શી વાત કરી કે, તેઓ 40 વર્ષ પહેલાં મોરારીબાપુની સાંભળેલી રામકથાનું પાકેલું ફળ છે. તેમણે જણાવ્યું કે, દાયકાઓ પૂર્વે બાપુની વાણીમાં વહેતી રામકથાના શ્રવણથી જ તેમના જીવનમાં વૈરાગ્ય અને અધ્યાત્મના બીજ રોપાયા હતા. એક યુવાન શ્રોતા તરીકે કથા સાંભળ્યા બાદ તેમની જીવનયાત્રા બદલાઈ હતી, જે આજે તેમને એક સમર્થ સંત તરીકે સ્થાપિત કરી શકી છે. મોરારીબાપુનું દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા, ગુલાબભાઇ ગજ્જર અને વેલજીભાઇ આહીરેઅભિવાદન કર્યું હતું. આ વેળાએ ગણેશનગરના સીતારામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ભુજોડીમાં મોરારી બાપુએ રામદેવપીર મંદિરે દર્શન કર્યા ભુજોડી ગામે રામનવમીના મોરારી બાપુ રામદેવપીર મંદિરે પધારીને ભગવાન રામદેવપીરના દર્શન કરી ભક્તોજનોને આશીર્વાદ આપ્યા હતા. બાપુ રામદેવપીર પાટ ઉત્સવે વિશેષ મુલાકાતે આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મોરારી બાપુ ભુજોડી ગામને પહેલાથી ઓળખે છે અને અહીંની પરંપરાગત કળા, હસ્તકલા, શાલ, કાપડ, અન્ય ઉત્પાદનો અંગે સારી જાણકારી છે. જેને તેઓ હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ પ્રસંગે મંદિરના પૂજારી અરજણ ગાંગાજી ગરવા મારાજ દ્વારા ધાર્મિક વિધિ અને પૂજન કરાયું હતું. સરપંચ શિવજી આલા મંગારિયા દ્વારા બાપુનું સ્વાગત અને સંબોધન કરાયું હતું. વિશ્રામ વાલજી સીજુ, વેલા રાજા મંગારિયા, વિરજી આલા મંગારિયા, દેવજી વાલજી સીજુ, રાજા સુમાર ભાટિયા તથા સુમાર કારા મંગારિયા દ્વારા ગામની તરફથી ભુજોડીની પરંપરાગત ઓર્ગેનિક કાલા કોટનમાંથી હાથથી બનાવાયેલું કુર્તા બાપુને સન્માનરૂપે ભેટ અપાયું હતું, જે ભુજોડીની જૂની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:54 am

કચ્છ જિલ્લો રામમય થયો:રામનવમીના પર્વ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો, મહાઆરતી, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભગવાન રામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે કચ્છભરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરથી ગામો સુધી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામભક્તિના ગુંજતા જયઘોષ સાથે ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ અવસર પર વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ, રામધૂન અને પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રામનવમીના આ દિવસે કચ્છની ધરતી ભક્તિમય રંગે રંગાઈ ગઈ હતી, જે લોકઆસ્થા અને સંસ્કૃતિની ઝલક પ્રગટ કરતી હતી. ઝુરા : ઝુરા ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવા સર્કલ દ્વારા ભગવાન રામ જન્મોત્સવ અને ઓધવરામ બાપાનો 137મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કળશ સ્થાપન, મૂર્તિ સ્નાન, આરતીનો ચડાવો, આરતી, ધ્વજારોહણ, શોભાયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમધામ, અંજાર : અયોધ્યામાં રામનવમીના મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું. આ જ દિવસે છપૈયામાં ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય થયું હતું. માટે આ દિવસે ભક્તોએ સાથે મળી વિશેષ ભજન કરવું એવી લક્ષ્મીનારાયણ સંહિતામાં મહારાજની આજ્ઞા પ્રમાણે અંજાર પરમધામ મંદિરે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવની હરિભક્તોના સંગાથે ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં પ્રગટ બિરાજમાન બાલકૃષ્ણ પ્રભુનો સમૂહ મહાઆભિષેક, અન્નકૂટ ઉત્સવ અને ધૂન ભજન સત્સંગ સભાનું આયોજન ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળ અંજાર દ્વારા કરાયું હતું. મહાભિષેકથી સ્નાન, મહા આરતી સહિતના આયોજન કરાયા હતા. ઓમ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ હરિ સત્સંગ મંડળની બહેનો દ્વારા શ્રી બાલકૃષ્ણ ભગવાનને 56 ભોગના વિવિધ જાતના પકવાન- મીઠાઈ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને મંદિર પરિસરમાં પ્રાચીન તેમજ અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રમુખ ગોવિંદ ભગત નારણભાઈ માલસતર, ટ્રસ્ટી મંડળ તથા યુવા મંડળે જહેમત ઉઠાવી હતી. વાંઢાય : રામ મંદિરે બપોરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તો લાઇનમાં ઊભા રહીને ભગવાન રામના દર્શન કર્યા હતા એવું મંદિરના પૂજારી રોહિત અબોટીએ જણાવ્યું હતું. મંગવાણા : પ્રાચીન ઠાકર મંદિરે પૂજન અર્ચન સાથે ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામ ભગવાનની આરતી તથા રામભાવ ભજનો રજૂ કર્યા હતા. બાદમાં પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્યવસ્થા હરેશ પંડ્યા, શૈલેષ પંડ્યા, સંગીતાબેન પંડ્યાએ સંભાળી હતી એવું અરાધનાબેને જણાવ્યું હતું. વિથોણ : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિથોણ પ્રખંડ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. કથાકાર જગદીશ મહારાજ તથા સંત મુકુંદાનંદ મહારાજે પ્રસ્થાન કરાવી હતી. જે વિથોણથી ધાવડા, દેવપર, સાયરા, આણંદપર, પલીવાડ, મંજલ, રામનગરી, દેશલપર થઈને રામ મંદિર ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. પ્રસ્તાવના પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ ડો. સુધીર પાલેજા દ્વારા મુકાઈ હતી. વિરાણીના સંત સુરેશદાસ મહારાજે કહ્યું કે વર્તમાનમાં હિન્દુ સમાજને એક થવાની ખૂબ જરૂરી છે. અક્ષય ઠક્કરે પ્રત્યેક ગામમાં સાપ્તાહિક સત્સંગ તથા RSSની શાખાઓ લગાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા મંત્રી નાજાભાઇ ભરવાડ, ચંદુભાઈ રૈયાણી, દિનેશ ગજ્જર, દિનેશ જોશી હાજર રહ્યા હતા. સામૂહિક મહાપ્રસાદનું આયોજન ઉમિયાધામ વાંઢાય દ્વારા કરાયું હતું. સંચાલન કિશોર છાભૈયા અને આભાર દર્શન અધ્યક્ષ સંદીપ મોરેશિયાએ કર્યું હતું તેમ કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું. માંડવી: સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન રામ તથા ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જેને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા તથા સંતોએ પ્રારંભ આપ્યો હતો. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આઝાદ ચોક અને લુહાર ચોક ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આકર્ષક ઝાંખીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નખત્રાણા : હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજી હતી. બજરંગ ગ્રાઉન્ડથી રામાણી ગ્રાઉન્ડ સુધી રામનામ ગુંજી ઉઠ્યું હતું. બપોર બાદ વેપારીઓએ સ્વયંભુ બંધ પડી મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બાદમાં ધર્મસભા યોજાઈ હતી. સમગ્ર હિન્દુ યુવા સંગઠન ટીમ નખત્રાણાના વિવિધ સમાજો રેલીમાં જોડાયા હતા. નખત્રાણા ભાજપ પરિવાર દ્વારા છાશનું વિતરણ કરાયું હતું. નખત્રાણા પી.આઈ. જે.ડી. સરવૈયા, પી.એસ.આઇ. આર.ડી બેગડીયા તથા પોલીસ સ્ટાફે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:51 am

26 એપ્રિલ સુધી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલમાં અરજી:ખેડૂતોને સોલારથી લઈને વિવધ 42 સાધનો ખરીદવા મળશે સહાય

ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 27 માર્ચથી 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો પોર્ટલ પર જઈને પોતાની અરજી કરી શકશે. આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પાવર ટીલર, પમ્પ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટે ગોડાઉન, માલ વાહક વાહન તેમજ સ્માર્ટફોન ખરીદી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અરજી કરતા પહેલાં ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અગાઉથી નોંધાયેલા તેમજ નવા બંને પ્રકારના ખેડૂતો માટે આ પ્રક્રિયા જરૂરી છે. આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સબસિડી દરે ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદન ક્ષમતા વધશે. સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ જેવી સુવિધાઓથી વીજળી અને પાણીની સમસ્યામાં રાહત મળશે. ગોડાઉન અને સંગ્રહ સુવિધાઓથી પાકનું નુકસાન ઓછું થશે અને યોગ્ય ભાવ મળવાની શક્યતા વધશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:46 am

વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વિવિધ અધિકારીઓને જિલ્લામાં પ્રભારી સચિવને નિમણુક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ IAS અધિકારી રાજકુમાર બેનીવાલની વરણી કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલ હાલમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની લિમિટેડ ભરૂચ ખાતે વહીવટી નિયામક (MD) તરીકે કાર્યરત છે. સરકારના આ નવા આદેશ બાદ હવે તેઓ પોતાની વર્તમાન જવાબદારીઓની સાથે કચ્છ જિલ્લાના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને વહીવટી સંકલનની દેખરેખ રાખશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે અનુભવી અધિકારીની નિમણૂકથી વહીવટી પ્રક્રિયામાં વધુ વેગ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છના વિકાસ માટે પથદર્શક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટી કારણોસર અને જિલ્લાઓમાં કામગીરીના સુદ્રઢીકરણ માટે કુલ 15 જેટલા જિલ્લાઓના પ્રભારી સચિવોની બદલી અથવા નવી નિમણૂક કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલએ ડિસેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2012 દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમના સમયમાં કચ્છમાં પંચાયતી રાજના માળખાને મજબૂત કરવા અને ગ્રામીણ વિકાસની યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:43 am

પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ

શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હેતુ લોકોને સગવડતા પૂરી પાડવાનો હોય છે, પરંતુ યોગ્ય આયોજન અને અમલના અભાવે કેટલીક યોજનાઓ લોકો માટે અગવડરૂપ બની જાય છે. આવી જ એક નિષ્ફળ યોજનાનો દાખલો મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલ આજે ગંદા પાણીના સ્ટોરેજનું કેન્દ્ર બની ગઈ છે. કૈલાશનગરથી મંગલમ સર્કલ સુધી અંદાજે 50 લાખથી વધુના ખર્ચે બનેલી સિમેન્ટ કેનાલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણી સરળતાથી હમીરસર સુધી પહોંચાડવાનો હતો. પરંતુ હકીકતમાં આ કેનાલ પાણી વહન કરવામાં નિષ્ફળ રહી છે. તેના બદલે તેમાં સતત ગંદા પાણી ભરાયેલા રહે છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંસ્કારનગર અને પડદાપીઠ વિસ્તારમાંથી આવતા ડ્રેનેજ કનેક્શન તેમજ મંગલમ પાસેની મુખ્ય ગટર લાઇનમાં લીકેજ હોવાને કારણે આ કેનાલ ગંદા પાણીના જળાશયમાં ફેરવાઈ ગઈ છે. મચ્છર અને રોગચાળાનો ભય પણ વધ્યો છે. ઉપરાંત, રઘુવંશી સર્કલ તરફથી આવતાં વહેણને અવરોધ વિના પસાર કરવા માટે એક કરોડથી વધુના ખર્ચે નવા પ્રોજેક્ટની વિચારણા કરાઈ હતી. ગત ચોમાસા બાદ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કામ પણ કરાયું, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન થઈ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. હવે લોકો મુખ્ય અધિકારી પાસેથી આ નિષ્ફળ પ્રોજેક્ટ અંગે તાત્કાલિક અને અસરકારક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી શહેરમાં સચોટ અને કાર્યક્ષમ વિકાસના દાવા હકીકતમાં સાબિત થઈ શકે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:41 am

કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો

પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં ખેડૂતોને 200 લિટર ડિઝલ આપવાની જોગવાઈ બાદ, હવે ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, રાજ્યમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ ડિઝલનો જથ્થો ફાળવવામાં આવશે. આ ફાળવણી માટે સરકાર દ્વારા શરતો પણ જારી કરાઈ છે. જેમાં જે તે કંપનીના છેલ્લા છ માસના સરેરાશ ડિઝલ વપરાશને ધ્યાનમાં લેવામાં આવશે. છ માસ પૂર્વે અને હાલની સાધનો તથા કામદારોની સંખ્યાના આધારે જરૂરિયાત નક્કી કરાશે. જે ભારે મશીનરી કે સાધનો પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ નથી, તેમને સ્થળ પર ડિઝલ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા અને મંજૂરી આપવામાં આવશે.જે એકમો પાસે પોતાના પર્સનલ ‘કન્ઝ્યુમર ડિઝલ પંપ’ નથી, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી ડિઝલની ખરીદી કરી શકશે. સરકારના આ નિર્ણય અંગે તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ IOCL, BPCL, HPCL, Jio-BP અને નાયરા જેવી ખાનગી કંપનીઓના સ્ટેટ હેડ અને ઝોનલ હેડને જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી કચ્છના અર્થતંત્રને વેગ મળશેકચ્છમાં MSME, મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો મોટી સંખ્યામાં આવેલા છે. સરકાર દ્વારા સૌ પ્રથમ સંગ્રહખોરી રોકવા માટે બેરલમાં ઇંધણ આપવાની મનાઈ ફરવામાં આવી હતી. જેથી કચ્છના MSME અને અન્ય ઉદ્યોગો પર ડિઝલની કટોકટીનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે ‘ફોકિયા’ની રજૂઆત બાદ સરકારના આ હકારાત્મક નિર્ણયથી હવે નાના ઉદ્યોગો અને પ્રોજેક્ટ્સ પુરતું ઇંધણ મળવાથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:39 am

મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનું પ્રથમ અને ભારતીય રેલવેનું બીજા ક્રમનું ડિજિટલ લાઉન્જ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ડિજિટલ લાઉન્જનું ઉદઘાટન 28 માર્ચે સાંસદ ડો.હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવશે. વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેમાં આ પ્રકારનું આ બીજું ડિજિટલ લાઉન્જ છે. આ લાઉન્જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેનો મુખ્ય હેતુ મુસાફરોને આરામદાયક અને પ્રિમિયમ સુવિધા આપવાનો છે. ​પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. લાઉન્જમાં ઉપલબ્ધ સુવિધા

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:33 am

અલ્પુ-હેરી સિંધી વચ્ચે ગેંગવોરનો માહોલ:યુવકની બૂટલેગર હેરી સિંધીને રીલથી ધમકી,જે હાથે ગાડી સળગાવી તે કાપીને પરિવારને મોકલાવી દઇશ

બુટલેગર હેરી સિંધીએ અગાઉ માનવ કારડાની કારને આગ ચાંપી હતી, હવે માનવે હેરી સિંધી સહિતનાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર ધમકી ભરી રિલ મુકી ઘટનાને અંગે માફી માગી લેવા જણાવતાં વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે. વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલ મુકીને અપશબ્દો લખ્યા હતા. તેને તેમાં ફાયરિંગનો વીડિયો પણ જોડ્યો હતો. સાથે તેની કાર સળગતી હોવાના વીડિયો સાથે જે હાથે કાર સળગાવી છે તે જ હાથને કાપી પરિવારને ઈનામ સ્વરૂપે મોકલશે, અમારી કોમ્યુનિટીની માફી માગી લો, નહીં તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું તેમ પણ લખ્યું હતું. રિલમાં જુદા-જુદા ચપ્પુ, એરગન પણ બતાવવામાં આવી હતી અને દારૂની બોટલો સાથે પણ માનવે પોતાના ફોટો મુક્યા હતા. બૂટલેગર હેરીનું નામ આપ્યા વગર ધમકીભરી રિલ મુકી હતી. જુના ઝઘડાની અદાવતે જ હેરીએ સાગરીતો સાથે મળી 4 મહિના અગાઉ માનવની કારને આગ ચાંપી હતી. તે મામલે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ માનવ અલ્પુ સિંધીની ગેંગના સાગરીત સાથે સંપર્ક ધરાવતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. માનવે માણસો સાથે જઇને વિવેક ઉર્ફે બન્નીને ધમકી આપી હતીમાનવ કારડાની કાર સળગાવવાના મામલે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીનું નામ સામે આવ્યું હતું. તેની અદાવતે માનવ વિવેક ઉર્ફે બન્ની પાસે ગયો હતો અને સાથે 5-6 માણસોને પણ લઈ ગયો હતો. તેણે વિવેકને ધમકી આપી હોવાની જાણવા મળ્યું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. ગુજસિટોકના આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુના પણ ફોટો મૂકાયારિલમાં અલ્પુ સિંધી ગેંગનો ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ પણ દેખાય છે. ધર્મેશ સામે તાજેતરમાં જ ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. તે હાલ જેલમાંથી બહાર છે. જોકે રિલમાં તેની કોઈ સંડોવણી પોલીસને મળી આવી નહોતી. પોલીસ દ્વારા ધર્મેશની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:31 am

ગર્વની વાત:નેશનલ ફેસ્ટ માટે ઓપરેશન સિંદૂર વિશે વડોદરાની શોર્ટ ફિલ્મ પસંદ થઇ

વડોદરાની એક શોર્ટ ફિલ્મને નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલગામના નિર્દોષ ભારતીય સહેલાણીઓ પરના જીવલેણ હુમલા બાદ તેના બદલારૂપે પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ આગામી મહિને ગોવામાં આયોજિત નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલિઝ કરાશે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અને ફોટોગ્રાફર, મોડેલ સંદીપ રાઠોડે જણાવ્યું કે, ફિલ્મના કથાનક મુજબ ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદીઓ બદલો લેવા માટે ભારતને ધમકી આપે છે. ત્યારબાદ ભારતમાં બે સ્થળોએ બ્લાસ્ટ પણ કરે છે. જેનો ભારતીય સેના બદલો પણ લે છે. આ ફિલ્મમાં પહેલગામ એેટેક બાદ પાકિસ્તાન પર કરેલા હુમલા પછી જાણીતા થયેલા આર્મી ઓફિસર સોફિયા કુરેશીના બહેન સાન્યા કુરેશીએ અભિનય કર્યો છે. સોફિયા કુરેશી દ્વારા પણ આ શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી છે. આ ફિલ્મમાં વડોદરાના 10 કલાકારોએ કામ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:27 am

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો

રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનું જાહેરનામું જિલ્લા શિક્ષણાધિકારી પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પરિવારના બાળકો આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા હોય છે. ચાલુ વર્ષે આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત મોડી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જયારે ગત વર્ષે માર્ચ મહિનામાં જ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. 2025-26ની રાઇટ ટુ એજ્યુકેશન એકટની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે 4 એપ્રિલ થી 17 એપ્રિલ 13 દિવસ પ્રક્રિયા કરાશે. ચાલુ વર્ષે શહેરની 338 સ્કૂલોમાં 4400 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, ગત વર્ષની તુલનામાં માત્ર 400 બેઠકોનો ઘટાડો નોંધાયો છે. ભાસ્કર નોલેજકયા દસ્તાવેજો આપવા પડશે ગત વર્ષ આંકડાઓ

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:24 am

પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં ભોજન મુદ્દે હોબાળો:તરસાલીના છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભોજનમાં પાણીવાળી કઢી અને કાચો ભાત મળતાં હોબાળો

તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભોજન યોગ્ય નથી, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા છે અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ છે. રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારા થતા નથી. રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવા જતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે તેવો જવાબ મળ્યાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓના હંગામાના પગલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ છાત્રાલય ખાતે પહોંચી ગયા હતા અને રસોડામાં જઇને ભોજનની ગુણવત્તા જોઇ ચોકીં ઉઠયા હતા. પાણી વાળી કઢી કાચો ભાત જોઇને તેમણે કર્મચારીઓને ટકોર કરી હતી. તાત્કાલિક અસરથી તેમણે મોડી રાત્રે વિદ્યાર્થીઓ માટે રોટલી અને શાક બનાવડાવ્યું હતું. હોસ્ટેલમાં માત્ર બે જ કર્મચારીઓ હતા જેમાં પણ 24 કલાક સુધી એક માત્ર વોર્ડન તરીકે કોન્ટ્રાકટર કામ કરતો હતો. અન્ય એક કર્મચારી પણ ત્યાં ફરજ બજાવતો હતો તે વોચમેન સહિતની અન્ય કામગીરી કરતો હતો. માત્ર બે જ કર્મચારીઓના ભરોસે સમગ્ર હોસ્ટેલ ચાલી રહી હતી. કોઇ પણ અધિકારીઓ ત્યાં શું પરિસ્થિતિ છે તે જોવા આવતા ના હોવાનું પણ બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મેસનો ઇજારો લઇ સબ કોન્ટ્રાક્ટરને આપી દીધોતરસાલી વિસ્તારમાં આવેલી રવિશંકર કુમાર છાત્રાલયમાં જે મેસ ચાલી રહી છે તે સબ કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય ગુણવત્તાવાળું ભોજન ન બનાવાતું હોવાના આક્ષેપો બાદ માજી મેયરે હોસ્ટેલની મુલાકાત કરી હતી. મેસનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેણે કોઇ બીજાને કોન્ટ્રાક્ટ આપી દિધો હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મંત્રી મનીષાબેનને રજૂઆત કરીશુંસરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની લાપરવાહીને પગલે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. ગાદલાં અને ઓશીકા રૂમોમાં બંધ હતા જે પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ના હતા. જેને રૂમ ખોલાવીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. મંત્રી મનીષાબેન વકીલને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે. > નિલેશ રાઠોડ, પૂર્વ મેયર

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:23 am

શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું:રાત્રે કચરો ફેંકનારા સામે પાલિકાની લાલ આંખ,26 દિવસમાં 24.88 લાખનો દંડ કરાયો

શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં વન વોર્ડ વન રોડ અંતર્ગત પાલિકાના સેનેટરી અને એસ્ટેટ વિભાગ દ્વારા 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ પાસેથી ₹9.30 લાખ અને રાત્રી ચેકિંગ દરમિયાન ₹9.47 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી ₹3.19 લાખનો દંડ વસૂલાયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભીના અને સૂકા કચરાને અલગ કરી ‘સ્વચ્છ વડોદરા’ના લક્ષ્યમાં સહભાગી બને. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ અમલીકરણ વધુ કડકપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રોજ એક વૉર્ડના એક રોડની સફાઇ કરી રહી છે. તંત્રે જાન્યુઆરી-2026માં ₹34.61 લાખનો દંડ ફટકર્યો છે. જ્યારે ફેબ્રુઆરીમાં ₹31.02 લાખનો દંડ વસૂલ્યો હતો. પાલિકાએ પંચશીલ ફ્લેટ પાસે 7 ઓટલા, 6 શેડના દબાણ દૂર કર્યા હતા. પંચમુખી હનુમાનજીથી આરાધના, કોઠી ચાર રસ્તા સુધીમાં 1 ટ્રક સામાન જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:20 am

કરંટથી મોત:ચાલુ કૂલરને અડતાં કરંટ લાગ્યો, એરફોર્સ અધિકારીનાં પત્નીનું મોત

ખોડીયાર નગરની કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતા એરફોર્સ અધિકારીના પત્ની ચાલુ કુલરને અડી જતાં કરંટ લાગ્યો હતો. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અધિકારીના પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યા હોવાને કારણે તેમનું શરીર ભીનું હતું, તેઓ કુલરને અડી જતા તેઓને કંરટ લાગ્યો હતો. વી.એમ કરુઅપ્પા એરફોર્સમાં ફરજ બજાવે છે. શુક્રવારે સવારે 8 વાગે તેઓના 25 વર્ષીય પત્ની મુથ્થુલક્ષ્મી બાથરૂમમાંથી સ્નાન કરી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રૂમમાં કુલર ચાલુ હતું અને મુથ્થુલક્ષ્મીનું શરીર કુલરને અડી ગયું હતું. જેના કારણે તેઓને એકાએક કરંટ લાગતા તેઓ ઢળી પડ્યા હતા. કરુઅપ્પા તાત્કાલિક તેમના પત્નીને લઈને સયાજી હૉસ્પિટલમાં ગયા હતા. ત્યાં તબીબે મથ્થુલક્ષ્મીને મૃત જાહેર કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને કરંટ લાગતા મોત થયું છે. જોકે પોલીસ આ બાબતે વધારે તપાસ હાથ ધરી હતી. ભાસ્કર નોલેજકૂલરનો પ્લગ સીધો સ્વીચબોર્ડમાં ન નાખો, થ્રી પિનનો ઉપયોગ કરો

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:19 am

ભાસ્કર એક્સક્લુસિવ:દિગંબર જૈનનું પાષાણનું સૌથી મોટું મંદિર સમામાં બનાવાયું,કાલથી પંચ કલ્યાણક મહોત્સવ શરૂ થશે

સમા-સાવલી રોડ પર સંમતિ પાર્ક સોસાયટીમાં દિગંબર જૈન સંપ્રદાયનું સૌથી મોટું પાષાણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 29 માર્ચથી 3 એપ્રિલ સુધી 5 દિવસીય ‘પંચ કલ્યાણક મહોત્સવ’નું આયોજન કરાશે. આ મહોત્સવમાં દિગંબર જૈન ધર્મના અનેક સાધુ-ભગવંતો પધારશે. મંદિરના ઉત્સવ સાથે જોડાયેલા રાકેશ જૈને જણાવ્યું હતું કે, વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી ધાર્મિક ઉજવણી થવા જઈ રહી છે. આ મંદિરની ખાસિયત એ છે કે, તેના નિર્માણમાં ઈંટ, સિમેન્ટ કે સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રાજસ્થાનના બંસી પહાડપુરમાંથી પાષાણ લાવીને ભીલવાડાના કુશળ કારીગરો દ્વારા આ મંદિર કંડારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છાણી વિસ્તારમાં દિગંબર જૈન સંપ્રદાયનું 600 વર્ષ જૂનું પાષાણ મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર 100 વર્ષ પહેલાં થયો હતો. છાણી બાદ આ નવું મંદિર કદમાં સૌથી મોટું છે. સમામાં જૈન સમાજના 600 જેટલા લોકો વસે છેસમા વિસ્તારમાં હાલ જૈન સમાજના અંદાજે 150 ઘરોમાં 600 લોકો વસે છે. ભવિષ્યમાં અહીં પરિવારોની સંખ્યા વધીને 3 હજાર સુધી પહોંચવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓને ઉપાશ્રય અને દેરાસરની સુવિધા મળી રહે તેમજ આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્ય પદ્ધતિ જળવાઈ રહે તે હેતુથી આ પાષાણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. > રાકેશ જૈન, દિગંબર જૈન સંપ્રદાય સમા-સાવલી રોડના મેઘા પાર્ટી પ્લોટમાં ‘અયોધ્યા નગરી’ બનાવાઈજૈન દિગંબર સંપ્રદાયના બિલ્ડર લોકેશભાઈના માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ થયું છે. પંચ કલ્યાણક મહોત્સવ માટે સમા-સાવલી રોડ પર આવેલા મેઘા પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું છે. અહીં 4 લાખ ચો. ફૂટની વિશાળ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં 50 લોકો માટે ડોરમેટરી, 26 આહાર કક્ષ અને 12 દુકાનો તૈયાર કરાઈ છે. વડોદરાના ઇતિહાસમાં અભૂતપૂર્વ મહોત્સવ બની રહેશે. મંદિરની વિશેષતાઓે

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:17 am

પુરવઠા વિભાગે આપી માહિતી:પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં

વડોદરામાં જે વિસ્તારોમાં પીએનજી ગેસ લાઈન આવેલી છે, ત્યાંના સ્થાનિક લોકોને ગેસ લાઈન લેવા માટે તંત્ર જણાવી રહ્યું છે. બીજી તરફ પીએનજી લાઈન ધરાવતા લોકો પાસે જો સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક સરન્ડર કરવા પણ આદેશ અપાયા છે. તેવામાં 1 મહિનામાં 5,500થી વધુ ગ્રાહકોએ પોતાના ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં હોવાનું અને ગેસના 22 હજાર સિલિન્ડનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. પુરવઠા વિભાગના અધિકારી ગીતા દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં એલપીજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. જ્યારે એજન્સીઓ દ્વારા પણ સમયસર સિલિન્ડર આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે હજુ પણ કોમર્શિયલ સિલિન્ડરોની અછત સર્જાઈ છે. જેમાં પુરવઠા વિભાગમાં જ રોજની 20થી વધુ અરજીઓ કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે કરવામાં આવે છે. ભાસ્કર નોલેજ

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:10 am

કેજરીવાલ અને ભગવંત માનના ભાજપ પર પ્રહાર:20 વર્ષથી વિકલ્પ નહોતો, મશીનમાં હવે ત્રીજું બટન આવ્યું છે: કેજરીવાલ

ગુજરાત પ્રવાસે આવેલા આપના સંયોજક-દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે લોકો 20 વર્ષથી ભાજપને વોટ આપવા મજબૂર છે, મશીનમાં આપનું ત્રીજું બટન આવ્યું છે, તેવો હુંકાર કર્યો હતો. જામનગરથી રેલીને સંબોધી વડોદરા આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાનગી હોટલમાં રોકાયા હતા. વડોદરા એરપોર્ટ પર કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બદલાવ જરૂરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈ કેમ્પેઇન કરી રહ્યા છે, જેને કારણે ભાજપમાં ડર ફેલાયો છે. 20 વર્ષથી અન્ય વિકલ્પ ન હોવાથી લોકો ભાજપને વોટ આપવા મજબૂર હતા, પણ હવે મશીનમાં આપનું ત્રીજું બટન આવી ગયું છે. ભગવંત માને કહ્યું કે, 20 વર્ષની ગંદી રાજનીતિની સફાઈ કરવા હવે ઝાડું આવી ગયું છે. સભામાં મોટી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:07 am

તંત્રની આળસ:વિશ્વામિત્રીમાં પડેલી રેલિંગ હટાવવામાં તંત્રની આળસ,6 મહિને પણ ઠેરની ઠેર

દાંડિયાબજાર બ્રિજ નીચે નદીના પટમાં ક્રોકોડાઈલ પાર્ક માટે બનાવેલી રેલિંગ ચોમાસામાં ધરાશાયી થઈ હતી. જોકે ચોમાસા વીતી ગયા બાદ ઉનાળો આવ્યો છતાં રેલિંગ હટાવવામાં ઉદાસીનતા દાખવી રહી છે. દાંડિયા બજાર બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં 10 વર્ષ પૂર્વે ક્રોકોડાઈલ પાર્કની જાહેરાત બાદ ત્યાં 2 કરોડના ખર્ચે રેલિંગ નખાઈ હતી. જોકે વિશ્વામિત્રીના વાઈડનિંગ બાદ અને ગત ચોમાસામાં ધોધમાર વરસાદથી કૃત્રિમ તળાવ પાછળ નદીના પટ પાસેની રેલિંગ ધરાશાયી થઈ હતી. તે પછી 6 મહિના વીતવા છતાં તેને હટાવી નથી. તાજેતરમાં વિશ્વામિત્રીના પટમાંથી તાત્કાલિક કાટમાળ હટાવવા હ્યૂમન રાઈટ કમિટીએ ટકોર કરી છે તેવામાં આ રેલિંગ હટાવાય તે જરૂરી છે. નોંધનીય છે કે, વોર્ડ કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલને જાણ કરી છે. કારણ રેલિંગને હટાવવા જતાં માટી ઢસડાઈ પડે તેવી સ્થિતિ છે. ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલ ગેબિયન વોલ બનાવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:06 am

પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશની દાદાગીરી:ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા 2 ગાર્ડ પર હુમલો,હવામાં ફાયરિંગનો આક્ષેપ

વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ ફ્યૂચર સોલાર કંપની અને સિક્યુરિટી એજન્સીના કર્મી પર પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા કર્મીઓ સામે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ છે. પૂર્વ મેયરના ભાઈ કલ્પેશ ડાંગરની ગુંડાગર્દીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજ છતાં પગલાં ન લેનાર કરજણ પોલીસ શંકાના ઘેરામાં આવી છે. આ અંગે ફ્યૂચર સોલારનો સંપર્ક કરતાં થયો ન હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફ્યૂચર સોલાર કંપનીએ ગોડાઉન ભાડે લીધું છે. જોકે હવે કંપનીને ગોડાઉન ખાલી કરવું હતું. જેથી શુક્રવારે કર્મીઓ અને સિક્યુરિટી એજન્સીના માણસો ટ્રેલર લઈ ત્યાં પહોંચ્યા હતા. સિક્યુરિટી કંપનીના માણસોએ કહ્યું કે, અમે ગોડાઉનના ગેટ પાસે પહોંચતાં કલ્પેશ ડાંગર સહિત 6થી 10 લોકોના ટોળાએ કંઈ કહ્યા વગર ધારિયા જેવાં હથિયારોથી હુમલો કર્યો હતો. અમે 112ને પણ જાણ કરી હતી. જોકે પોલીસ પણ હુમલાથી બચવા બાજુ પર ખસી ગઈ હતી. જ્યારે કલ્પેશ ડાંગરે ગન કાઢી ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે. આ ઘટનામાં સિક્યુરિટી એજન્સીના 2 થી 3 કર્મીને ઈજા થઈ છે. જ્યારે સિક્યુરિટી એજન્સીના કર્મચારી સાનુ પિલ્લાઈ લોહીલુહાણ થયા હતા. સાનુ સહિત ઘાયલ કર્મચારીને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ કર્મીએ એસપી ઓફિસમાં રજૂઆત કરી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. ફર્સ્ટ પર્સનકલ્પેશ ડાંગરે ગન બતાવી ફાયરિંગ કર્યું, જાનથી મારી નાખવાની કોશિશ કરીફ્યૂચર સોલાર કંપનીએ કરજણ પાસેના રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડે રાખ્યું છે. જ્યાં સોલારને લગતો સામાન રાખેલો છે. શુક્રવારે બપોરે સોલાર કંપનીના માણસો સાથે અમે સિક્યુરિટી એજન્સી તરીકે રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગયા હતા. કંપનીનો સામાન ગોડાઉનમાંથી ખાલી કરવાનો હતો. જ્યારે પહોંચ્યા ત્યારે ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેના માણસોએ ગોડાઉનમાં જવા જ ન દીધા. મને માહોલ થોડો ખરાબ લાગ્યો હતો અને વધુ ઘર્ષણ ન થાય તે માટે મેં 112ને ફોન કર્યો હતો. જ્યારે 112ના પોલીસ કર્મીઓ આવ્યા છતાં તેમની સામે જ મને માર માર્યો હતો. કલ્પેશ ડાંગરે પોલીસની સામે જ ગન કાઢીને ફાયરિંગ કર્યું છે. અમને ગન બતાવી છે. પોલીસની નજર સામે જ અમને જાનથી મારવાની કોશીષ કરવામાં આવી છે. આ તમામ ઘટના પોલીસના બોડીવોર્ન કેમેરામાં કેદ થઈ છે. પોલીસની સામે જ મને અને સિક્યુરિટી એજન્સીના બીજા દેવેન્દ્રસિંહ રાઠોડને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરાઈ છે. મારા સાથી હજુ પણ બેભાન હાલતમાં છે. - સાનુ પિલ્લાઈ, કર્મચારી, સિક્યુરિટી એજન્સી હુમલો થયો ત્યારે જનરક્ષક પોતાના રક્ષણ માટે દૂર ખસી ગયા, કરજણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં112 જનરક્ષકના પોલીસ કર્મીઓની હાજરીમાં કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ હુમલો કર્યો હતો. આ સમયે જનરક્ષકના પોલીસ કર્મીઓ પોતાના રક્ષણ માટે દૂર ખસી ગયા હતા. કરજણ પોલીસે પણ કલ્પેશ ડાંગર સહિત ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી ન કરતાં શંકાના ઘેરામાં આવી છે. ગોડાઉનના ભાડા અંગે માથાકૂટ થઈ હતીસોલાર કંપનીએ ગોડાઉન ભાડે રાખ્યું છે. કંપની અને કલ્પેશ ડાંગર વચ્ચે 6 માસથી ભાડાની વાત ચાલતી હતી. કંપનીના માણસો સામાન લેવા આવ્યા ત્યારે કલ્પેશ સાથે માથાકૂટ થઈ છે. ફાયરિંગ નથી થયું. કોઈ હજુ ફરિયાદ કરવા આવ્યું નથી. > બી.એમ. પટેલ, પીઆઈ, કરજણ પોલીસ મથક કલ્પેશનો પોલીસની હાજરીમાં જ હુમલો. કલ્પેશ પાસે લાઈસન્સ છે, ફાયરિંગની વાત ખોટીકલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું છે તે વાત સાવ ખોટી છે. તેમની પાસે વર્ષોથી હથિયારનું લાઇસન્સ છે. આ ઘટનામાં સિક્યુરિટી એજન્સીના કર્મીઓએ મારામારી કરી છે. ઘટના બાદ કલ્પેશ ડાંગર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે આ બાબતે સમાધાન થઈ ગયું છે. > ભરત ડાંગર, કલ્પેશ ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરનો વિવાદિત ભૂતકાળ સમાધાન થઈ ગયું છે, મેં ફાયરિંગ નથી કર્યુંકંપનીના માણસોને 2 ગાર્ડે એન્ટ્રી કરવા કહ્યું હતું. તેઓએ ગાર્ડ સાથે મગજમારી કરી. હું પહોંચ્યો ત્યારે ઘટના બની ચૂકી હતી. કંપની તરફથી ચિંતનભાઈ સાથે વાત થઈ હતી. સમાધાન થયું છે.મેં ફાયરિંગ નથી કર્યું, વાત ખોટી છે. > કલ્પેશ ડાંગર

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:03 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સરકારે કહ્યું - દેશમાં કોઈ લોકડાઉન નહીં થાય, ઈરાને ઈઝરાયેલ પર 'થૅન્ક્યુ ઈન્ડિયા' લખેલી મિસાઈલો છોડી, રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ છોડવા અંગેના રહ્યા. આ મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખેલું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી પાસે જેવર ખાતે સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 2. IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખી ઈઝરાયલ પર હુમલો કર્યો:કહ્યું- ભારતીય બાળકોનું ગુલ્લક દાન કરવાનું ક્યારેય નહીં ભૂલીએ, આ પ્રેમભરી ભેટ ઈરાને ઈઝરાયલ પર 83મી વખત મિસાઈલ હુમલો કર્યો. આ વખતે મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ઈરાની સૈનિકો મિસાઈલો પર Thank you people of India લખી રહ્યા છે. આ જ રીતે સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ પગલું એવા દેશો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેમણે તેને સમર્થન આપ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. PM મોદીની ઈરાન યુદ્ધ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક:કહ્યું- ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે; સરકારે કહ્યું- દેશમાં લોકડાઉન નહીં લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે તમામ રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ મળીને કામ કરે અને પોતાની તૈયારીઓ મજબૂત રાખે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને રાજ્યો પાસેથી તેમની તૈયારીઓ અને યોજનાઓની માહિતી લીધી. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને આ મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હોય. સંપૂર્ણ સમાચાર વાંચો 3. સોના-ચાંદીના ભાવ ગગડ્યા:સોનું ₹3,263, ચાંદી ₹13 હજાર ઘટી; ઈરાન યુદ્ધથી 28 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું, ચાંદી ₹45 હજાર નીચે આવી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,263 રૂપિયા ઘટીને 1.43 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા બુધવારે તે 1.46 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 13,167 રૂપિયા ઘટીને 2.22 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા 25 માર્ચે તેની કિંમત 2.35 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે સોનું 28 દિવસમાં 16,155 અને ચાંદી 45,053 સસ્તી થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું- પરિણીત પુરુષનું લિવ-ઇનમાં રહેવું ગુનો નથી:નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે; કપલની ધરપકડ પર રોક અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે પરિણીત પુરુષનું કોઈ પુખ્ત મહિલા સાથે સહમતિથી લિવ-ઈનમાં રહેવું ગુનો નથી. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે કહ્યું કે નૈતિકતા અને કાયદો બંને અલગ-અલગ છે. નિર્ણયો નૈતિકતાથી નહીં, કાયદાથી થાય છે. કોર્ટ શાહજહાંપુરના એક કેસ સંબંધિત સુનાવણી કરી રહી હતી. જેમાં લિવ-ઈનમાં રહેતા એક યુગલે પરિવાર તરફથી મળી રહેલી ધમકીઓ સામે સુરક્ષા માંગી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનીની તસવીર લઈને પ્રદર્શન:ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ધક્કા-મૂક્કી થઈ, રાહુલને પપ્પુ કહેવા પર મારામારી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુને લઈને વિરોધ પ્રદર્શન થયું. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ખામેનીની તસવીર લઈને ગૃહમાં પહોંચ્યા અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ખામેનીના પોસ્ટર પણ લહેરાવ્યા. આ દરમિયાન, ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ધક્કામુક્કીનો વીડિયો પણ સામે આવ્યો. જોકે, આ વિવાદ ભાજપના નેતાઓની રાહુલ પરની ટિપ્પણીને લઈને હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજ્યમાં હવે રૂ.300માં વારસાની જમીનની વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ-9 હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 21 IASને પ્રભારી સચિવ બનાવ્યા:34 IT અધિકારીને પ્રમોશન સાથે 41 અને GAS કેડરના 31 અધિકારીની બદલી, 32 ના.મામલતદારને પ્રમોશન રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વહીવટને વધુ અસરકારક બનાવશે. રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટ વધુ મજબૂત બને. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર સરકારની 2.38 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી:એરફોર્સને S-400 મિસાઈલ ડિફેન્સ અને આર્મીને ધનુષ ગન સિસ્ટમ મળશે સંપૂર્ણ સમાચાર વાંચો 2.ઈન્ટરનેશનલ : આયર્લેન્ડમાં ફોન-ફ્રી બાળપણ, મેદાનમાં કિલકિલાટ કરી રહ્યા બાળકો:માતા-પિતા અને શિક્ષકોએ 'નો ફોન કોડ' લાગુ કર્યો, 12 વર્ષથી નાના બાળકોને મોબાઇલ નહીં સંપૂર્ણ સમાચાર વાંચો 3.નેશનલ : કોંગ્રેસે કહ્યું- રાહુલમાં કાર્યકર જેટલી સમજ હોવી સારી વાત:હવામાં ઉડતા પી.વિજયન શું જાણે; કેરળના મુખ્યમંત્રીએ રાહુલની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા સંપૂર્ણ સમાચાર વાંચો 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં બાલેન શાહ સૌથી યુવા વડાપ્રધાન બન્યા:રાષ્ટ્રપતિએ પીએમ પદના શપથ લેવડાવ્યા; મધેશ ક્ષેત્રમાંથી આવનારા પહેલા PM સંપૂર્ણ સમાચાર વાંચો 5.બિઝનેસ : રૂપિયો 94.7 ના રેકોર્ડ નીચલા સ્તરે:14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ નાણાકીય વર્ષમાં ડોલર સામે 10% ઘટ્યો; વિદેશી સામાન મોંઘો થશે સંપૂર્ણ સમાચાર વાંચો 6.સ્પોર્ટ્સ : Oh my God Rohit...તું તો ઓળખાતો જ નથી!:રોહિતનો નવો અવતાર જોઈને નીતા અંબાણી તેને ઓળખી શક્યા નહીં; રિએક્શનનો વીડિયો વાઇરલ સંપૂર્ણ સમાચાર વાંચો 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 28 માર્ચનું ટેરો રાશિફળ:મિથુન-સિંહ રાશિના લોકોનું ટીમવર્કથી કામ પાર પડશે, તુલા-મીન રાશિના જાતકોએ નિર્ણય લેવામાં ધીરજ રાખવી સંપૂર્ણ સમાચાર વાંચો ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 5 પૈસા માટે કંડક્ટરની નોકરી ગઈ, હવે ₹3 લાખ મળ્યા માત્ર 5 પૈસાની લાંચના આરોપમાં 1976માં દિલ્હીના બસ કંડક્ટર રામ સિંહ યાદવની નોકરી જતી રહી હતી. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કંડક્ટરે 40 વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી. 2016માં દિલ્હી હાઈકોર્ટે કંડક્ટરને રાહત આપતા 3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : ‘પોઝિટિવ પાજી’ને કિડનેપ કરીને માર્યા, પાંસળીઓ તોડી નાખી: પણ પછી આસારામના ગુંડાઓ ફફડી ગયા, જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો એપિસોડ 2. આજનું એક્સપ્લેનર: ફોર્મ-16 સમાપ્ત, ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકાશે ઇનકમ ટેક્સ; 1 એપ્રિલથી 5 મોટા ફેરફારો લાગુ, તમને શું ફાયદો-નુકસાન 3. એક્સક્લૂસિવ : '5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત': હસતા મોંઢે આપઘાત કરનારી આયશાના પિતા ભાવુક થયા, કહ્યું- હવે કોઇ 4 નિકાહનો શિકાર નહીં બને 4. ફિલ્મી ફેમિલી : 'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું: 'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : સેપ્ટિક ટેન્કમાં મળ્યું એક્ટ્રેસ મીનાક્ષીનું ધડ: કાપેલું માથું બેગમાં રાખીને ફરતા રહ્યા હત્યારા; નકલી રોયલ ફેમિલીને છેતરવાનું ખોફનાક કાવતરું 6. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ટ્રેનની ‘તત્કાલ ટિકિટ’ ચોરનારી ગેંગમાં 5મું ફેઈલ: CBIએ જેને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો તે જામીન પર છૂટ્યો; IIT-IIM વાળા ઓફિસરો જાળ તોડી શક્યા નહીં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:વૃષભ અને સિંહ રાશિના લોકોને સંપત્તિ સંબંધિત લાભ થશે, કન્યા જાતકોના વિવાદો ઉકેલાશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:00 am

રાજવીની ભેટ પર તંત્રનું ગ્રહણ:મોરબીમાં સરકારી મેળાના તાયફાથી સમથળ કર્યાના થોડા સમયમાં L. E. ગ્રાઉન્ડ તહસ-નહસ

મોરબીના રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોની મનપા અને વહીવટી તંત્રના પાપે ફરી એકવાર કઠણાઈ સર્જાઈ છે. સામાકાંઠે રાજાશાહી વખતના ઐતિહાસિક એલ.ઇ. ગ્રાઉન્ડને જે તે સમયે રાજવી પરિવારે મોરબીની જનતાના રમત ગમત માટે જ ફાળવ્યુ હતું. પરંતુ દુર્ભાગ્યવશ આ મેદાનનો રમત ગમત માટે ભાગ્યે જ ઉપયોગ થાય છે. મોટાભાગે આ વિશાળ એલઇ ગ્રાઉન્ડનો સરકારી મેળા અને વિવિધ સરકારી કાર્યક્રમો માટે જ ઉપયોગ થતો હોવાથી આ શહેર માટે એકમાત્ર રમત ગમતનું મેદાન રમત ગમતને બદલે માત્ર સરકારી કાર્યક્રમો માટે હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એલ.ઇ.ગ્રાઉન્ડમાં છેલ્લા 20 વર્ષથી રમતોનું ખૂબ જ ઓછું આયોજન અને એની સામે સરકારી મેળા, વિવિધ કાર્યકમોની ભરમાર હોય આવી સ્થિતિમાં યુવાનો કેવી રીતે પોતાની રમત ગમતનું કૌશલ્ય કેવી રીતે વિકસાવે ? જો કે સરકારી મેળા કે કાર્યક્રમો એક પછી એક યોજાતા હોય એમાં આઠ કે દસ દિવસનો સમય લાગતો હોય પણ આ કાર્યકમો પુરા થયા બાદ મેદાનને વ્યવસ્થિત કરી સુંદર અને સ્વચ્છ બનાવવાની કોઈ કામગીરી થતી જ નથી. એથી આ એકમાત્ર મેદાનની ઘોર ખોદાય જાય છે. દરેક વખતે સરકારી મેળા બાદ આ મેદાનની ભયંકર હાલત થઈ જાય છે. જો કે હમણાં જ એલઇ ગ્રાઉન્ડને એકદમ સમથળ કરીને એક સારા મેદાન તરીકે વ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ લાંબા સમયના અંતે એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ પુરી થઈ કે તરત જ સરકારી મેળા માટે ભવ્ય ડોમ તૈયાર કરી દેવાયો હતો. તેમાં મંડપ નાખવા માટે ખોદકામ કર્યું હોય તેમજ મેળો ઘણા દિવસો સુધી ચાલુ રહેતા મેદાન જાણે ઉકરડો બની ગયો એમ કચરાના ગંજ ખડકાઇ ગયા હતા.મેળો પૂરો થયા પછી કચરાને‎ઉપાડવાની તસ્દી જ ન લેવાઇ!‎આ મેળો હમણાં પૂરો થયા ભવ્ય ડોમ તો ઉપાડી લેવાયો પણ આ મેદાનમાં લોખંડની ખીલીઓ અને કચરાને જેમની તેમ છોડીને દર વખતની જેમ તંત્રએ ચાલતી પકડી હતી. મેદાન ઘણું ખરાબ થઈ જતા ઉપરથી ખીલીઓ પડેલી હોવાથી વહેલી સવારે રમવા આવતા રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોને પગમાં ઇજા થવાનો ભય રહે છે. જો કે આ સરકારી કાર્યકમો હોય એટલે મેદાનને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી મનપા અને વહીવટી તંત્રની હોય છે. પણ તંત્ર આ જવાબદારીમાંથી છટકી ગયું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:51 am

મનપાની ફૂડ શાખા ખાણીપીણીની 51 પેઢીમાં ત્રાટકી:મોરબીમાં મસાલા માર્કેટમાંથી 10 નમૂના‎લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરાયો‎

મોરબીમાં હોટલો, રેસ્ટોરન્ટ, ચાઈનીઝ, પંજાબી સહિતના જંકફૂડ અને ચટપટી વાનગીના નાસ્તાની દુકાનોમાં શુદ્ધત્તાના નામે ભેળસેળ યુક્ત અને વાસી ખોરાક લોકોના પેટમાં પધરાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મનપાની ફૂડ શાખા માત્ર હાજરી પુરાવતી હોય તેવી કામગીરી વચ્ચે આજે ફૂડ શાખાએ આળસ ખંખેરીને જન આરોગ્ય સાથે ચેડાં કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવી ગાંઠ વાળી હોય એમ એકીસાથે ફુડ શાખા ખાદ્યપદાર્થના 51 વિક્રેતા પર ત્રાટકી હતી અને વાસી નુડલ્સ, ગ્રેવી, કલરનો સહિતનો ખાઈ ન શકાય એવો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. મોરબીમાં કહેવાતી વૈભવી હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની મોટાભાગની દુકાનોમાં જન આરોગ્ય સાથે ચેડાં થાય તેવા ભેળસેળયુક્ત આહાર અને વાસી ખોરાક ગ્રાહકોને પીરસાતો હોવાની ફરિયાદ બાદ હવે અચાનક મનપાની ફૂડ શાખા હરકતમાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબીના વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની સઘન ચકાસણી કરવામાં આવી હતી.જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાદ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ ફટકારી હતી. જો કે હાલ ઉનાળામાં મસાલા મરચું, હળદર, જીરુંની ભરપૂર પ્રમાણમાં ગૃહિણીઓ ખરીદી કરતી હોય પણ આ મસાલા હકીકત ભેળસેળયુક્ત હોય જેની તેઓને ખબર ન હોવાથી તેમના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદ મળતા ફૂડ શાખાએ આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર આવેલા માર્કેટમાંથી આશરે 10 જેટલા મસાલા જેવા કે મરચું, હળદર, જીરુંના નમૂના લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીતે 51 ખાદ્યપદાર્થમાં ચેકિંગ બાદ પટેલ રાજા પાઉભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવી, વિશ્વા સ્વીટ નમકીનમાંથી ફૂડ કલર, ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથાબંધ ફૂડ કલર અને રબડીનો નાશ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:30 am

ત્રિકોણબાગ વિસ્તારમાં દુકાનોનું રિડેવલપમેન્ટ કરાશે‎:મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ માટે આધુનિક શાકમાર્કેટ આકાર પામશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને શહેરના માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવી શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને સુપરત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક શાકભાજીના ધંધાર્થીઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન એટલે રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મનપાએ સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક કરી રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરી આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:28 am

અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ

વઢવાણ તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો આવેલા છે. ગુંદીયાળા તરફનો માર્ગ પણ આમ વઢવાણ તરફ ખોલડીયાદ, માળોદ તેમજ બીજી તરફ વસ્તડી તેમજ સામા કાંઠે આવેલા મેલડી માતાના મંદિર તરફ જવા માટે રાહદારીઓ, વાહનચાલકો તેમજ ભક્તો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગુંદીયાળા તરફના રોડ પર ભયજનક વળાંક હોવાથી તેમજ તેનાથી થોડી દુર અંદાજે 500થી વધુ મીટરનો પુલ આવેલો છે. ત્યારે આ પુલની બંને સાઇડો પર લોખંડની ગ્રીલો કે સરંક્ષણ દિવાલો ન હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. બીજી તરફ આ માર્ગ પર દિવસ -રાત લોકો આવ-જા કરી રહ્યાં છે અને ભયજનક વળાંક, સરંક્ષણ દિવાલ વગરનો પુલના કારણે લોકોને અકસ્માતનો ભય રહેતા યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા પુલની બંને સાઇડ સંરક્ષણ દિવલ કરતા લોકોમાં રાહત ફેલાઇ હતી. આ અંગે સુનિલ જી. રાઠોડે જણાવ્યું કે, આ રોડ પર અકસ્માતનો ભય બહુ રહેતો હતો. મારૂ જ બાઇક એક વાર સ્લીપ ખાઇ ગયુ હતુ.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:21 am

અણઘડ આયોજનથી પ્રજાજન પરેશાન:વઢવાણમાં રેલવે મેદાનથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ ડાયવર્ઝન વગર જ શરૂ કરી દીધું

સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કામોએ ગતિ પકડી છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરમાં રેલવે મેદાનના પાણીના અવાડાથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મુસાફરો માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે ડાયવર્ઝન ન આપવામાં આવતા હજારો લોકોએ રેલવે સ્ટેશન અને સરકારી કચેરીઓ સુધી પહોંચવા માટે લાંબા ફેરા મારવા પડી રહ્યા છે. વઢવાણ શહેર માં ચૂંટણી નજીક આવતાસુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા રસ્તા ના કામો શરૂ થયા છે સુરેન્દ્રનગરવઢવાણ વિસ્તારમાં રેલવે મેદાન પાણીના અવાડાથી વડ સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે, આ દરમિયાન મુસાફરો માટે યોગ્ય વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાસ કરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે ડાયવર્ઝન રસ્તો/પ્રવેશ માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પેસેન્જરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રાજભા જાદવ હનીફભાઈ વગેરે સ્થાનિક લોકો અને મુસાફરો જણાવે છે કે આ રસ્તા પર મામલતદાર તાલુકા પંચાયત કોર્ટ પ્રાંત કચેરી રેલવે સ્ટેશન બગીચા વગેરે આવેલા છે પરંતુ સુરેન્દ્રનગર મહા પાલિકા દ્વારા ડાયવર્ઝન અપાયું નથી આથી રોજિંદા આવનજાવન માટે લાંબા ફેરા મારીને સ્ટેશન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પરિશ્રમ બંને વધે છે. વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ સંજોગોમાં રેલવે તંત્ર દ્વારા સ્ટેશન નજીક મૂકવામાં આવેલી ફેન્સિંગને તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે. જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ તાત્કાલિક રાહત આપવી જરૂરી છે. જેથી મુસાફરોને સુવિધા મળે.સ્થાનિક લોકો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને આ રેલવેના ઉચ્ચ અધિકારી, ડી.આર.એમ. સાહેબને આ મુદ્દે ધ્યાન આપવા અને ઝડપી કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:18 am

રોજગાર સેતુ -26નું ભવ્ય આયોજન કરાયું:વઢવાણ મેટ્રો રોટરી ક્લબના પ્રયાસોથી 450 યુવાનોને મળેલી કારકિર્દીની તક

સુરેન્દ્રનગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું ભવ્ય આયોજન કર્યુ હતુ. એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા રોજગારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ રૂપે મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું આયોજન એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસ, સુરેન્દ્રનગર તથા એસ.જે. વરમોરા મહિલા કોલેજના સહયોગથી કર્યુ હતુ.જેમાં 50થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ ક્ષેત્રોની રોજગાર તકો ઉપલબ્ધ કરી હતી. આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુકોએ ઉત્સાહભેર હાજરી આપી અને વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એક જ સ્થળે વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત અને ઈન્ટરવ્યૂની તક મળવાથી યુવાનો માટે આ એક અનોખું પ્લેટફોર્મ સાબિત થયું હતુ. આ આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સચિવ રોટ. ઉમંગ શાહ,મિત્તલ શાહ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:15 am

રેંજ આઇજીએ વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી‎:જિલ્લાના 5 વોન્ટેડ આરોપીની ભાળ આપનારને રૂપિયા 20 હજારનું ઇનામ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને ભાગતા ફરતા આરોપીઓની હવે ખેર નથી.કારણ કે રાજકોટ રેંજ આઇજીએ રેંજના ગામો ના કુલ 29 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સુરેન્દ્રનગરના 5 આરોપીનો સમાવેશ કર્યો છે. આટલુ જ નહી પરંતુ આ આરોપીની ભાળ આપનારને રૂ.20 હજાર ઇનામ અપાશે . રાજકોટ રેંજનો ચાર્જ શંભાળ્યા બાદ આઇ જી ર્નીલીપ્ત રોય એકસન મોડમાં આવી ગયા છે. આ આરોપીઓની ભાળ આપશે તેને રૂ.20 હજારના ઇનામની પણ જાહેરાત કરી છે. આટલુ જ નહી પરંતુ તેમના નામ ગુપ્ત રખાશે. આરોપી નામ અને ગુનાનો પ્રકાર ભીખાભાઇ કુના સાયલા એનડીપીએસ માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર, અલીભાઇ ડફેર લખતર આઇપીસી 307 હત્યાના પ્રયાસનોગુનો, મનુભા ઝાલા વઢવાણ આઇપીસી 302 હત્યાનો ગુનો સંજુ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા ડાલુરામ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા. જૂના કેસ,સગા સબંધી પણ હયાત ન‎હોય પોલીસને ભાળ નથી મળી‎જિલ્લાના 5 આરોપીને વોન્ટેડ જાહેર‎‎કરવામાં આવ્યા છે તેમને શોધવા માટે‎પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા.પરંતુ વર્ષો પહેલાના કેસ દાખલ થયા છે.‎આરોપીના નવા કે જૂના નંબરો પણ મળતા નથી. બીજુ કે આરોપીના વતનમાં‎સગા સબંધી પણ રહેતા નથી. તેમના ગામમાં પણ આરોપીઓને કોઇ ઓળખતુ‎ન હોવાને કારણે પોલીસથી બચીને ભાગવા માટે આરોપીઓ સફળ રહયા છે.‎બીજુ કે આ આરોપીઓ પરપ્રાંતમાં બીજા નામથી પણ રહેતા હોવાની આશંકા‎છે.અને આથી જ તેમની ઓળખ કરવી તે પોલીસ માટે પડકાર રૂપ બની છે.‎

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:13 am

PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં ત્રણ દિવસમાં 1127 ગ્રાહકોના વીજકનેક્શન કપાયા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 25 માર્ચે 254 ટીમોએ રૂ. 89.80 લાખની બાકી રકમના 861 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3316 ગ્રાહકો પાસેથી રૂ. 156.42 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 26 માર્ચે 200 ટીમોએ રૂ. 8.86 લાખની બાકી રકમના 108 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3246 ગ્રાહકો પાસેથી રૂ. 121.58 લાખની વસૂલાત કરવામાં આવી હતી. તા. 27 માર્ચે 229 ટીમોએ રૂ. 29.79 લાખની બાકી રકમના 158 વીજ જોડાણો કટ કરી નાંખ્યા હતા. જ્યારે 3559 ગ્રાહકો પાસેથી રૂ. 160.20 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં 683 ટીમોએ રૂ. 128.15 લાખની બાકીદારોના 1127 કનેકશનો કટ કરી નાંખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન 9921 ગ્રાહકો પાસેથી રૂ. 438.20 લાખની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર. એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:12 am

મનપાની કાર્યવાહી:સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં લગાવેલા ગેરકાયદેસર 20 થી વધુ બોર્ડ ઉતારી લીધા

સુરેન્દ્રનગર સંયુકત પાલિકા બનતાની સાથે શહેરમાં જાહેરાત માટેના મોટા મોટા બેનરોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.આ મોટા બેનર પર પોતાના પોસ્ટર લગાવવાનો ચાર્જ વધુ થતો હોય છે. જેને કારણે શહેરના વેપારીઓ કે ધાર્મિક કાર્યક્રમો કરનાર સંસ્થાઓ મનપાએ શહેરમાં ઉભા કરેલા વિજપોલ ઉપર પોતાના નાના બોર્ડ લગાવતા હોય છે.ત્યારે મનપાએ શુક્રવારે 20 થી વધુ જગ્યાએથી આવા બોર્ડ ઉતારી લીધા હતા. સુરેન્દ્રનગર મનપાને પૈસા ન ચૂકવવા પડે તે માટે લોકો બેનર લગાવવા માટે વિજપોલનો ઉપયોગ કરતા હોય છે.મનપા વિજપોલ ઉપર બેનર ન લગાવવા માટે વારંવાર સુચના આપે છે. પરંતુ તેમ છતા લોકો બોર્ડ લગાવતા હોય છે. લોકો એકવુ માને છે કે મનપા બોર્ડ ઉતારવાની કાર્યવાહી ન કરે તેટલા દિવસ તો અમારા જાહેરાત થશે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકો જાહેરાત વાંચે છે. વિજપોલ ઉપર ગેરકાયદેસર બોર્ડ લગાવવામાં આવ્યા હોવાની જાણ થતા મનપાની દબાણ શાખાની ટીમ ગાડી સાથે સવારથી જ શહેરના રસ્તા ઉપર ચેકિંગ માટે નિકળી હતી. અને ખાસ કરીને સીસીટીવી જે પોલ ઉપર લગાવેલા છે તેવા 20 થી વધુ પોલ ઉપરથી બેનરો, સહિતના લખાણો દૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:11 am

ચણાની ખરીદીના શ્રીગણેશ કરાયા:વઢવાણ યાર્ડમાં પહેલા દિવસે 2700 મણ ચણાની ખરીદી‎

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયુ છે.બઝારમાં ચણાના ભાવ નીચા છે ત્યારે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેમાં 30 ખેડૂતો પાસેથી 90 મણ લેખે રૂ.1150ના ભાવે 2700 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લામાં 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે.વર્તામાન સમયે મોટા ભાગના ગામડાઓમાં ચણાનો પાક લેવાઇ ગયો છે.સામાન્ય રીતે એક એકરે 35 મણ ચણાનો ઉતારો આવે તો પણ આ વર્ષે જિલ્લામાં 23.41 લાખ મણ ચણાનું ઉત્પાદન થવાનો અંદાજે છે.ત્યારે રાજય સરકારે રૂ.1150ના ભાવે મણ ચણા ખરીદવાની જાહેરાત કરી ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ હતુ.જેમાં વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં 3800 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશ કરાવ્યુ છે. શુક્રવારે યાર્ડ ખાતે ચણાની ખરીદી કરવામાં આવી હતી.જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન નારણભાઈ પાવરા તથા સભ્ય સંદીપભાઈ દેસાઈ તથા હેમાંગભાઈ ત્રિવેદી તેમજ સેક્રેટરી રાજુભાઈ ત્રિવેદી તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. રૂ.900માં ખરીદી રૂ.1400માં વેચાણ વર્તમાન સમયે યાર્ડમાં ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.બીજી બાજુમાં બઝારમાં ખેડૂતોને ચણાના એક મણના રૂ.900 થી રૂ.1000 હાજાર જ આપવામાં આવે છે. જયારે આ જ ચણા વેપારીઓ બઝારમાં રીટેઇલમાં રૂ.1300 થી રૂ.1400માં વેચવામાં આવે છે. 90 મણથી વધુના ચણા કયા વેચવા તે મુશ્કેલી યાર્ડમાં બઝાર કરતા સારો ભાવ છે.પરંતુ ત્યા એક ખેડૂત પાસેથી જે માત્ર 90 મણ ચણાની જ ખરીદી કરવામાં આવે છે. મોટા ખેડૂતોને 90 મણથી વધુ ચણાનું ઉત્પાદન થયુ છે.તે ખેડૂત બાકીના બીજા ચણા કયા વેચવા જાય તે મોટી મુંજવણ છે કારણ કે બઝારમાં સારો ભાવ મળતો નથી. આજરોજ માર્કેટિંગ યાર્ડ વઢવાણમાં ટેકાના ભાવેથી ચણાની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે આ કામ ના એજન્સી ઇન્ડિયા એગ્રો મારફત ટીંબા સેવા સહકારી મંડળી ટીંબાને ચણાની ખરીદીનું કામ મળેલ છે આજરોજ મુરતના દિવસે 30 ખેડૂતો ચણા લઈ વેચાણ માટે આવેલ હતા. વઢવાણ વિસ્તારના ખેડૂતોએ કુલ 3800 આસપાસ નું રજીસ્ટ્રેશન કરેલ છે તેમજ ચણાના 1175 ના ભાવે ખરીદી કરશે એક ખેડૂત એક હેક્ટર વધુમાં વધુ 90 મણ ચણાની ખરીદી કરશે તેવી માહિતી ઉપલબ્ધ થયેલ છે. > હિતેષભાઇ ગોલાણી -ખેડૂત

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:10 am

રિયાલીટી ચેક:પ્રજાને 10 લાખ દંડ કરનારા અધિકારીઓ બેસે તે કચેરી ‘તમાકુયુક્ત’ દિવાલો પર પાન-ગુટખાની પીચકારીઓ !

શેઠની શિખામણ ઝાપા સુધી’ આ કહેવત જિલ્લામાં મથક એવા સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ખરા અર્થમાં સાર્થક થાય છે. તા.23 ફેબ્રુઆરીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની બેઠક મળી હતી. તેમાં જ ભાસ્કર રિયાલીટી ચેક કર્યું હતું. ત્યારે કલેકટરની કાર ઉભી રહે તેનાથી 10થી15 મીટર દુર પાન-માવાની પડીકીઓના ઢગ અને ગુટખાની પિચકારીઓના ઢબ્બા જોવા મળ્યા હતા. ડીએલઆર કચેરીના મુખ્ય અધિકારીની ઓફિસથી થોડે દૂર બેસવાની જગ્યાએ જ બારી આખી લાલ રંગે રંગાયેલી હતી. જ્યાં કર્મીઓ અને આવતાં-જતાં અરજદારો પીચકારી માવાની મારતા જણાયા હતા. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગ કચેરી જે આ દંડની કામગીરી કરે છે તેના શૌચાલય પાસે જ પાનમાવાની પીચકારી કચરો ઢાંકેલી જણાઇ અંદર ગંદકી જણાઇ હતી. જ્યારે મહાનગરપાલિકા જે સ્વચ્છતાની દંડની કામગીરી કરે છે તેની જૂની બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલો લાલ હતી ક્યાંક કચરા પેટી હતી તોય દિવાલ બગડેલી અને નહો તી ત્યાંય ગંદી જોવા મળી હતી. જ્યારે બહુમાળી ભવનમાં લોકોને થૂકતા રોકવા અહીં ન થૂકવું તેવું બોર્ડ માર્યું હતું તેમાં કોઇ ન ચેકી નાંખી દિવાલ પિચકારી મારી ગંદી કરી દીધી હતી. નવાઇની વાત તો એ છે કે, આ કચેરીઓમાં બેઠેલા અધિકારીઓના આદેશથી જાહેર સ્થળો ઉપર થૂંકતા અને ધ્રુમપાન કરતાં રહીશો પાસેથી રૂ.1.96 લાખ તેમજ તમાકુ વેચાણ, પેકેટ ઉપર ચેતવણી વિના વેચાણ સહિતના ગુના બદલ 5 વર્ષમાં રૂ.10,15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:07 am

સિરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં:થાન સિરામીકને અપાતાં ગેસના ભાવમાં રૂ.46.06નો ઐતિહાસીક વધારો‎

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલો સિરામીક ઉદ્યોગ હાલ યુદ્ધનને પગલે ગેસની અછતના લીધે મુશ્કેલીમાં મુકાયો છે. તેવામાં ગેસ કંપની દ્વારા પ્રતિકિલોના ભાવમાં એકસાથે રૂ.46.06નો વધારો ઝીંકી દેવાતાં ઉદ્યોગકારો ઉપર રૂ.11.06 કરોડનો બોજો આવશે. પહેલા જે એક કિલો ગેસનો ભાવ જીએસટી વગર રૂ.41.40 હતો તે હવે રૂ.88એ પહોચી ગયો છે. જીએસટી સાથે આ ભાવ રૂ.95ની પાર કરી જશે. આ ભાવ વધારાના વિરોધમાં આજે શનિવારે થાન સિરામિક એકમોના માલિકોએ તાકિદની બેઠક બોલાવી છે.જેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે. થાનમાં સિરામીકના 280 થી વધુ કારખાના આવેલા છે. આ ઉધોગના વિકાસ માટે ગેસની સગવડતા આપવામાં આવતા ઉધોગકારોને રાહત થવાની આશા હતી.પરંતુ ગેસ કંપની દ્વારા ભાવમાં સતત વધારો કરવામાં આવી રહયો છે.જેને કારણે ઉધોગકારોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. થાનના કારખાનામાં દરરોજ 2.80 લાખ કિલો ગેસની વપરાસ થાય છે.આ રૂ.46.6 ના ભાવ વધારાને કારણે ઉધોગ ઉપર 11.06 કરોડનો બોજો વધશે.હાલના સમયે ઘણા કારખાનાઓ તો હાલ બંધ હાલતમાં છે. અનેક મજુરોને છુટ્ટા કરી દેવામાં આવતા મજુરોએ પણ વતનની વાટ પકડી છે.ત્યારે હવે આ ઉધોગને કેવીરીતે બચાવવો તેના મનોમંથન માટે ઉધોગકારોની બેકઠ મળશે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં જે ભાવવધારો રૂ.2થી રૂ.2.50 વચ્ચે થતો હતો તેમાં 13 ઘણો વધારો એકસાથે ઐતિહાસીક ગણી શકાય. સબસિડી સંજીવની બની શકે ભાવથી ફેકટરી 2 મહિના સુધી ચાલુ થઇ શકે તેમ નથી થાન સિરામિક ઉદ્યોગના એકમો એક પછી એક બંધ થઇ રહ્યા છે. ત્યારે આ ગેસના ભાવ વધારાને કારણે ઓછામાં ઓછી બે મહિના સુધી ફેકટરીઓ ચાલુ થાય તેવી શકયતા નથી.ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સબસિડી અપાય તો જ હવે આ ઉધોગ બચે તેમ છે. ઘર વપરાશની 130થી વધુ વસ્તુઓ 30 ટકા મોંઘી થતાં આમ નાગરિકને પણ માર પડશેથાન સિરામીક એકમમાં નાની મોટી કુલ 130 વસ્તુ બનાવાય છે. વનપીસ, ડમરૂ, એંગલો, સ્ટાર ગોલ્ડ સેટ, ગેંડી, ઓરીસ્સા,યુરોપીયન 30 ટકા મોંધી થશે. આમ ઉદ્યોગકારોની સાથે સાથે આમ જનતા ઉપર પણ આ ગેસના ભાવ વધારાની અસર જોવા મળશે. ચાઇનાએ ભાવ ન વધાર્યો,‎વિદેશમાં ટકવું મુશ્કેલ‎થાન સિરામિક ઉદ્યોગના માલનો સૌથી વધુ વિશ્વના દેશોમાં એકસપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ભાવને કારણે આપણો માલ 30 ટકા મોંઘો થશે. ચાઇનાએ ગેસના ભાવમાં વધારો કર્યો નથી. આપણી મોટી હરીફાઇ ચાઇના સાથે છે. ચાઇના બજારમાં સસ્તો માલ વેચશે. જેની સામે આપણે ટકી નહી શકીએ. > શાંતીલાલ પટેલ, ઉપપ્રમુખ પાંચાળ સિરામિક ઉઘોગ 21 વર્ષમાં સૌથી વધુ ભાવ વધારો‎

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:05 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પૂજા પાર્કમાં ખોદકામ, છતાં રોડ બન્યો નથી; ધૂળિયા માર્ગથી પરેશાન બનેલા સ્થાનિકોની મુખ્યમંત્રી-કમિશનરને રજૂઆત‎

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં લાબા સમયથી નવા રોડ માટે ખોદકામ કરાયુ છે. પરંતુ હજુ સુધી રોડ ન બનતા ધૂળ્યા માર્ગથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. જેને લઇને મુખ્યમંત્રી, કમિશનરને રોડ માટેની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, પુજા પાર્ક સોસાયટીમાં હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. આખો દિવસ ધૂળની ડમરી ઉડતી હોવાથી ઘરનો સામાન બગડી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય પણ હાની પહોંચી રહી છે. વારંવાર કોર્પોરેટર કે કોન્ટ્રાકટરને રજૂઆત કરવા છતા થઇ જશે એવા જવાબો જ મળે છે. જેને કારણે કંટાળીને સ્થાનિકોએ મુખ્યમંત્રી, શહેરી વિકાસ ગૃહ નિર્માણ સચિવ, કમિશનરને રજૂઆત કરી છે. 4 વર્ષથી રહેવા આવ્યા, સ્થિતિ અત્યંત ખરાબ પુજાપાર્કમાં છેલ્લા 4 વર્ષથી રહેવા આવ્યા છીએ. રસ્તા ખરાબને કારણે વાહનો પણ સરખા ચાલી શકતા નથી. મોટી ઉંમરના લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.> રમેશ લાખાણી, સ્થાનિક ખરાબ રોડથી વાહન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે વોર્ડ નંબર 2માં રોડની ઘણા સમયથી આ સ્થિતી છે. કોર્પોરેટરને રજૂઆત કરીએ તો થોડા દિવસમાં બની જશે એવુ જ કશે છે. જેને કારણે હાલ વાહન ચલાવવુ પણ મુશ્કેલ છે.> હરેશભાઇ કોટડીયા, સ્થાનિક ટેક્સ પુરો ભરીએ છતા રસ્તાની સુવિધા શૂન્ય પુજા પાર્ક સોસાયટીમાં ખોદકામ બાદ સ્થિતી ખૂબ જ ખરાબ બની છે. જ્યાં જોવો ત્યાં કાંકરા જ કાંકરા છે. અમે પુરતો ટેક્સ ભરીએ છીએ છતા સુવિધા મળતી નથી.> રાજુભાઇ રાખોલીયા, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

અકસ્માત:ધુંવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ચગદી નાખતા મોત

જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ દુકાનના ઓટલા ઉપર સુતેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ચગદી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મોરકંડા રોડ, સનસીટી-1ની સામે રાજ સોસાયટીમાં રહેતા મહમદહુશેનભાઈ ઓશમાણભાઈ મોગલ નામના યુવાનના પિતા ઓશમાણભાઈ અલીભાઈ મોગલ (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.27ના રાત્રિના ત્રણેક વાગ્યે જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ પાસે દુકાનના ઓટલા ઉપર સુતા હતા. ત્યારે મોડી રાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને અડફેટે લીધા હતા અને માથા ઉપર ટાયર ફેરવી દઈ તેમજ શરીરે અને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું, જયારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાશી છુટ્યો હતો. બનાવની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એ.આર.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. મૃતકા પુત્ર મહમદહુશેનભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે. પોલીસ દવારા હાઈવે પરથી સીસીટીવી ફુટેજ મેળવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am

ફરિયાદ:શહેરમાં મોટર સાયકલ લઈને જતાં યુવાનની હત્યાનો પ્રયાસ

જામનગર શહેરમાં ખંભાળિયાગેટ પાસે ચાલુ બાઈકે યુવાન ઉપર હુમલો કરીને તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યાની કોશિષ કર્યાની ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ બાબતે ઝગડો થયો હોવાનો ખાર રાખીને હુમલો કરાયો હતો. શહેરના વિયાના પાર્ક, ન્યુ 80 ફુટ રોડ ઉપર રહેતા કપીલભાઈ વલ્લભભાઇ બાહુકીયા (ઉ.વ.35) નામના યુવાનને લોઠીયા ગામે આરોપી જયેન્દ્ર માનસુરીયા સાથે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જે વાતનો ખાર રાખીને ગત તા.26ના રોજ યુવાન પોતાનું મોટર સાયકલ લઈને શહેરના ખંભાળિયા નાકા બહાર હનુમાનજીના મંદીર પાસેથી પસાર થતા હતા. ત્યારે આરોપીઓ પોતાના બાઈકમાં પાછળથી આવીને લોખંડનો પાઈપ ચાલુ ગાડીએ મારતા યુવાન રોડ ઉપર નીચે પટકાયો હતો. તે દરમિયાન આરોપીઓ જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા અને બે અજાણ્યા શખસોએ લોખંડના પાઈપ, કોયતા, લોખંડના બોલ્ટ તેમજ છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છુટ્યા હતા. યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ચારેય શખસોની શોધખોળ આરંભી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 4:00 am