શ્રધ્ધાળુઓએ ઠેર-ઠેર ફેંક્યો કચરો:નર્મદાની પંચકોશી પરિક્રમાનું સમાપનપણ આસપાસના ગામડાઓમાં ગંદકી
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનું સમાપન થયું છે પણ શ્રધ્ધાળુઓએ ફેકેલા કચરાના કારણે 21 કિમીના રૂટ પર ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. વહેલી તકે સફાઇ કરી ગામડાઓને ફરીથી સ્વચ્છ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી છે. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થઇ ચૂકી છે. એક મહિનામાં 9 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુઓએ 21 કિમીની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી છે. રામપુરાથી શરૂ કરી માંગરોળ, ગુવાર, શહેરાવ થઇ નદી પાર કરી તિલકવાડા રેંગણ ઘાટ આમ 21 કિમિની યાત્રામાં 5 થી 6 ગામો આવે છે. પરિક્રમાની પહેલા તડામાર તૈયારીઓમાં તંત્ર કામે લાગી ગયું હતું અને સરકારે પણ 20 કરોડ રૂપિયા પરિક્રમા માટે ફાળવ્યા હતા. અમદાવાદ અને વડોદરાની એજન્સીઓને કામો સોંપાયા હતા. સુવિધા સજ્જ માર્ગ અને પરિક્રમા માં પ્રવાસીઓને કોઈ તકલીફ પડી ન હતી. ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ સૌથી વધારે લોકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે આવ્યાં હતાં. પરિક્રમા પૂર્ણ થયા બાદ આ રૂટ પર આવેલાં 6 ગામડાઓમાં ઠેર ઠેર કચરો જોવા મળી રહયો છે. નદીકિનારે અને ગામડાઓ માં ઠેર ઠેર પ્લાસ્ટિક અને કચરો ફેંકીને શ્રધ્ધાળુઓ તો જતાં રહયાં છે પણ આ ગામડાઓમાં રહેતાં લોકો હાલાકી ભોગવી રહયાં છે. નદી કિનારે તથા 6 ગામોમાં વિશેષ અભિયાન ચલાવીને સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહયાં છે. જિલ્લા કલેકટર મિટિંગ બોલાવી ને સફાઈ અને જરૂરી સૂચનાઓ આપે તેવી સ્થાનિકોની માગણી છે. તંત્રએ આખો મહિનો ઉત્સાહથી કામો તો કર્યા પરંતુ સફાઈ કરાવવાનું ભૂલી ગયા છે. પરિક્રમા કરવા માટે આવેલાં 9 લાખ લોકો તથા સ્થાનિક લારીગલ્લા ધારકોએ તેમનો કચરો નદી કિનારે અથવા ગામડાઓની આસપાસ નાખી દીધો છે ત્યારે વહેલી તકે સફાઇ કરાવવી જરૂરી બની છે. સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી ને સફાઈ કરી શકે અથવા ગ્રામ પંચાયતો પણ સફાઈ ઝુંબેશ કરી શકે અને જેતે વિસ્તામાં ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો પણ સફાઈ કરી શકે તો સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસશે.
PMMVY યોજનાના નામે ઠગાઈ:લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં 5 મહિલાઓ સાઇબર ઠગનો શિકાર બની
દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના કાળીમહુડી ગામમાં સાયબર ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે ગરીબ મહિલાઓને નિશાન બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પૈસા જમા કરાવવાના બહાને ઠગોએ ગામની 5 મહિલાઓના ખાતામાંથી ₹3,000 થી ₹8,000 સુધીની રકમની ઉચાપત કરી છે. આ ભેજાબાજોએ મહિલાઓને ફોન કરીને જણાવ્યું હતું કે,અમે PMMVY ઓફિસથી બોલીએ છીએ અને તમારા સહાયના હપ્તાના પૈસા બાકી છે.’ મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ જે-તે મહિલાએ ફોર્મમાં આપેલા ખાનગી કાગળો અને વિગતો વોટ્સએપ પર મોકલી હતી. પોતાના જ સરકારી કાગળો મોબાઈલ પર જોઈને મહિલાઓને ખાતરી થઈ હતી કે આ ફોન સત્તાવાર કચેરીએથી જ આવ્યો છે. ત્યારબાદ ‘એકાઉન્ટ વેરિફિકેશન'ના નામે એક લિંક મોકલી તેના પર ક્લિક કરવાનું કહેતા જ ગણતરીની મિનિટોમાં ખાતામાંથી પૈસા સાફ થઈ ગયા હતા આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે આ ગઠિયાઓ પાસે લાભાર્થીઓના નામ, મોબાઈલ નંબર અને તેમણે ફોર્મ સાથે જોડેલા ખાનગી દસ્તાવેજો ક્યાંથી આવ્યા? શું આ ગોપનીય ડેટા કોઈ સરકારી કચેરી કે એજન્સીમાંથી લીક થયો છે? કાળી મહુડી ગામની 5 નિર્દોષ મહિલાઓ શિકાર બન્યા બાદ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.
દાહોદ શહેર નજીક હાઈવે પર ભીંટોડી ગામ પાસે રવિવારે બપોરે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે કાળકા માતાના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક પરિવારની કાર માર્ગમાં ઊભેલા બંધ કન્ટેનર પાછળ અંદાજે 110 કિમીની પૂરઝડપે ધડાકાભેર ઘૂસી જતાં ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવદ ગામનો શ્રદ્ધાળુ પરિવાર નેક્સોન ગાડીમાં સવાર થઈ પાવાગઢ દર્શન કરવા માટે આવ્યો હતો. માતાજીના આશીર્વાદ લઈ રવિવારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે બપોરના 3.30 વાગ્યાના અરસામાં ભીંટોડી પાસે કાળ ભેટ્યો હતો. રસ્તા પર ઊભેલા એક બંધ કન્ટેનર પાછળ કાર પૂરઝડપે અથડાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીના સેન્સર્સ એક્ટિવેટ થતા આગળની સાથે સાઈડની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. અંદર ક્ષમતા કરતા વધુ 12 લોકો સવાર હોવાથી અને ટક્કરની તીવ્રતા વધુ હોવાથી સુરક્ષાના સાધનો નિરર્થક સાબિત થયા હતા. આ ટક્કરમાં માસૂમ બાળકો પ્રિયાંશી ભાભોર, 3 વર્ષીય શુષ્ટિ ગણાવા અને 1 વર્ષીય મોહિની ગણાવા ઈજાઓને કારણે પ્રાણ પંખેરા ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
નર્મદામાં ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ:રાજપીપળામાં પ્રદેશ પ્રમુખે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો
રાજપીપળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમણે જિલ્લાના સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ચૂંટણીની વ્યૂહરચના ઘડી હતી. બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે, તમામ મતભેદો ભૂલી એકજૂટ થઈ વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા જોઈએ. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ઘનશ્યામ પટેલ અને જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
હવામાન વિભાગની આગાહી:ભરૂચ જિલ્લામાં 22 મીએ 14 મિમી વરસાદની આગાહી
ભરૂચ જિલ્લામાં ફરી 22 મીએ 14 મીમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં આ વર્ષે ભર ઉનાળામાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી ખેડૂતોને માથે આફત મંડરાઈ રહી છે. ભરૂચ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્ર ના હવામાન વિભાગના ધવલ કમાણીના જણાવ્યા મુજબ આગામી 22 એપ્રિલે ફરી છૂટા છવાયા કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં અંદાજે 14 મીમી સુધી વરસાદ પડી શકે છે ત્યારે આ માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન નહી થાય તે માટે ખાસ કરીને કેટલીક બાબતો ખેડૂતોને ધ્યાન આપવા માટે સલાહ આપતા જણાવ્યુ છે. કે , પાક સંરક્ષણ માટે ખુલ્લામાં રાખેલા અથવા લણણી કરેલા પાકને તાત્કાલિક તાડપત્રીથી ઢાંકી દો અથવા સુરક્ષિત સૂકી જગ્યાએ ખસેડો જેથી ભેજ અને ફૂગથી નુકસાન ન થાય. બાગાયતી પાકોને તેજ પવન અને અચાનક વરસાદથી કેરીમાં ફળ ખરી પડવાની સમસ્યા થઈ શકે છે અને કેળના પાકને નુકસાન થઈ શકે છે. કેળના છોડને પવનથી બચાવવા યોગ્ય ટેકો આપો પિયત આપવાનું હાલ પૂરતું ટાળો. રાસાયણિક ખાતર, નીંદણનાશક કે જંતુનાશક દવાઓનો છંટકાવ હાલ પૂરતો બંધ રાખો. વરસાદ અને પવનને કારણે દવા ધોવાઈ જશે અને તેની અસરકારકતા ઘટશે. વરસાદ અને પવનને કારણે જંતુનાશક દવાઓ ધોવાઈ જવાની શક્યતા હોવાથી હાલમાં કોઈ પણ પ્રકારનો છંટકાવ કરવો નહીં. આ ઉપરાંત ખેતરમાં પિયત આપવાનું પણ હાલ પૂરતું બંધ રાખવું જોઈએ.
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં સોનાના ઊંચા ભાવ હોવા છતાં લોકોએ શુકનવંતી ખરીદીને પ્રાધાન્ય આપતા એક જ દિવસમાં અંદાજે ₹20 કરોડના સોનાનું વેચાણ થયું હોવાનું વેપારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભરૂચના સ્ટેશન રોડ, કટપોર બજાર અને શક્તિનાથ વિસ્તારમાં આવેલા જાણીતા જ્વેલર્સના શો-રૂમ સવારથી જ ગ્રાહકોથી ઊભરાયા હતા. અખાત્રીજ પર સોનું ખરીદવું અક્ષય (ક્યારેય નાશ ન પામે તેવું) ફળ આપે છે તેવી માન્યતાને કારણે લોકોએ સોનાના સિક્કા, ગીની અને દાગીનાની ભારે ખરીદી કરી હતી. ગ્રાહકોની ભીડને પહોંચી વળવા માટે અનેક જ્વેલર્સે વધારાનો સ્ટાફ પણ તહેનાત કર્યો હતો. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં લગ્નના મુહૂર્ત હોવાથી અનેક પરિવારોએ અગાઉથી જ ઘરેણાંનું બુકિંગ કરાવી રાખ્યું હતું. જેની ડિલિવરી આજે લેવામાં આવી હતી. જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધુ હોવા છતાં વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીના વાસણો અને સિક્કાઓમાં પણ મોટું ટર્નઓવર નોંધાયું છે.
મુલાકાત:મુસ્લિમ અગ્રણીઓની અજીત ડોભાલ સાથે મુલાકાત: કચ્છના આગેવાન પણ રહ્યા ઉપસ્થિત
સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનોના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મહત્વના પ્રશ્નો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આ રાષ્ટ્રીય સ્તરની મુલાકાતમાં કચ્છના અગ્રણી પણ સામેલ હોવાથી સ્થાનિક સ્તરે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. આશરે દોઢ કલાક સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં દેશભરમાંથી 20 જેટલા પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ઝફર શરેશવાલા, કે.પી. ગ્રુપના ફારુક પટેલ, જર્મન સ્ટીલના ઈનામુલ હક ઈરાકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌશર જહાં, અલ્તાફ વોરા તેમજ ઝુમ મીડિયા અને અંજુમન મુંબઈના પ્રતિનિધિઓ જોડાયા હતા. વિશેષ રૂપથી કચ્છમાંથી હાજી જુમા રાયમાએ આ બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. NSA અજીત ડોભાલે આ પ્રતિનિધિમંડળને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે દેશની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે, “ભારતની મિસાલ એક જહાજ જેવી છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સવાર છે. જો આ જહાજ કિનારે લાગશે તો બધા જ પાર પડશે અને જો ડૂબશે તો બધા સાથે જ ડૂબશે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજ પાયાનો પથ્થર છે. વિશ્વના અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતનો મુસ્લિમ સમાજ વધુ સુખી અને આઝાદ છે. સરહદી કચ્છ માટે બેઠક વ્યુહાત્મકનોંધનીય છે કે તાજેતરમાં જ હાજી જુમ્મા રાયમા ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેઓએ ચારિત્રને બદનામ કરાતા હોવાના આરોપ હેઠળ 14 શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. જેના વિરોધમાં તેની સામે કચ્છના વિવિધ મુસ્લીમ સમાજના લોકોએ પોલીસ કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. તે બધાની વચ્ચે હાજી જુમ્મા રાયમાની અજીત ડોભાલ સાથેની મુલાકાત અનેક ચર્ચા ઊભી કરે છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માંડવીમાં ચૂંટણીને લઈને પાલિકા અચાનક જાગી
માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પરંતુ આ વખતે ગરમી ભાષણો અને વચનોમાં જ નહીં, રસ્તાઓ પર પણ સ્પષ્ટ વિકાસ રૂપે દેખાઈ રહી છે. “રાત ઓછી ને કામ વધારે”નો નારો હવે માત્ર પોસ્ટરો સુધી મર્યાદિત નથી રહ્યો તંત્રે તેને અચાનક જ ગ્રાઉન્ડ પર ઉતારી દીધો છે, એ પણ ત્યાં જ્યાં છેલ્લા એક વર્ષથી લોકોના અવાજને માત્ર આશ્વાસનોનો જ સહારો મળતો હતો. વોર્ડ નંબર 6ના ધર્મશાળા રોડ પર સ્થાનિક લોકો લાંબા સમયથી નાના બાળકોની સલામતી માટે જમ્પર બનાવવાની માંગ કરી રહ્યા હતા. ત્રણથી પાંચ વર્ષના નાનકડા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા ફુલવાડી શાળા અને બહુચરાજી વિસ્તારમાંથી આવતા ભૂલકાઓ માટે આ રસ્તો જોખમકારક બન્યો હતો. પરંતુ તંત્રની ઘેરી નિંદ્રાને ચૂંટણીના ઢોલે એવી રીતે જગાડી કે હવે વિકાસનો સ્પીડ બ્રેકર મોડ ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગયો છે. ચૂંટણીના પ્રચાર સાથે જ એક વર્ષથી અધૂરું રહેલું કામ રાતોરાત પૂર્ણ કરવામાં આવ્યું. એક જ જમ્પરની માંગ સામે હવે બે મજબૂત સિમેન્ટના જમ્પર નિયમ કરતા વધારે ઊંચા કરી દેવાયા છે અને સાથે એક જૂનો રબર કોટિંગવાળો જમ્પર ઉમેરાયો છે. પરિણામે હવે માત્ર 30 ફૂટના વિસ્તારમાં ત્રણ ત્રણ જમ્પર ઉભા થઈ જતા રસ્તો ઓછો અને “એડવેન્ચર ટ્રેક” વધુ લાગવા માંડ્યો છે. આ પ્રકારની ચૂંટણીપૂર્વ વિકાસ ગાથા માત્ર એક જ વોર્ડ સુધી મર્યાદિત નથી. શહેરના આઠ વોર્ડમાં સમાન દૃશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષો સુધી ફાઇલોમાં ઊંઘતું વિકાસ હવે મતના મોસમમાં દોડતું જોવા મળે છેએ પણ ક્યારેક એટલી ઝડપથી કે લોકો સમજી ન શકે કે આ સુવિધા છે કે નવી સમસ્યા. માંડવીની જનતા હવે વધુ સમજદાર બની છે. તેઓ વિકાસના આઅચાનક પ્રેમને જોઈને સ્મિત સાથે કહે છે ચૂંટણી આવે ત્યારે જ 108ની સ્પીડમાં અમને યાદ કરનારાઓ, હવે અમે પણ મત આપતા પહેલા ‘સ્પીડ બ્રેક’ લગાવીને વિચાર કરીશું લોકોનો વ્યંગ : ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાનસ્થાનિક લોકો વ્યંગમાં કહે છે, અકસ્માત ટાળવા માટે જમ્પર બનાવ્યા કે હવે વાહન ધીમું ચલાવતા ચલાવતા ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાન છે બીજી તરફ મત માંગવા આવતા ઉમેદવારો હવે નતમસ્તકે હાથ જોડીને મતદારોને મનાવવા પ્રયત્નશીલ છે, જ્યારે જનતાના મનમાં એક જ પ્રશ્ન ગૂંજે છે ચૂંટણી પછી ફરી કામ માટે કોને હાથ જોડવા પડશે ?
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં માવઠાનો ફટકો: મીઠાના ઉત્પાદનમાં 20% ઘટાડાની ભીતિ, છતાં અછત નહીં સર્જાય
કચ્છ જિલ્લો મીઠું પકવવામાં સમગ્ર દેશમાં મોખરે છે અને આ ઉદ્યોગ દેશને વિપુલ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ રળી આપતો સૌથી મોટો ધંધો છે. જોકે, આ વર્ષે કુદરતી પરિબળોની નકારાત્મક અસર નમક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની સીઝન લાંબી ચાલતા અને ઉપરથી પડેલા કમોસમી વરસાદ (માવઠા) ના મારથી મીઠાના ઉત્પાદનમાં 20 ટકાની મોટી ઘટ નોંધાવવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વરસાદ અને માવઠાને કારણે સમયસર મીઠાના અગરો રિપેર થઈ શક્યા ન હતા. પરિણામે મીઠું પકવવાની કામગીરી મોડી શરૂ થઈ હતી, જેની સીધી અસર પ્રોડક્શન પર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં દર વર્ષે કચ્છમાંથી 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઉત્પાદન મોડું શરૂ થવાના કારણે તેમાં 20% નો ઘટાડો થવાનો અંદાજ છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, આ વર્ષે અંદાજિત 50 થી 60 લાખ ટન મીઠું ઓછું પાકશે. જેથી આ સિઝનમાં કુલ ઉત્પાદન ઘટીને અઢી (2.5) કરોડ ટન આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્પાદનમાં આટલો મોટો ઘટાડો હોવા છતાં, ગ્રાહકો અને બજાર માટે રાહતની વાત એ છે કે મીઠાની કોઈ અછત નહીં સર્જાય. મીઠાનું ઉત્પાદન ઓછું છે પણ માલની કોઈ કમી નથીઆ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના યુવા પાંખના કન્વીનર અભિષેકભાઈ પારેખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આ વર્ષે વરસાદની સિઝન લાંબી ચાલી અને માવઠાના કારણે મીઠાના અગરો મોડા ચાલુ થયા છે. તેના કારણે પ્રોડક્શનમાં 20 થી 25% જેટલું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. જોકે, તેમ છતાં બજારમાં માલની કોઈ કમી કે અછત રહેશે નહીં.”
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞનું હરિભક્તો શ્રધ્ધાભેર શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ઘનશ્યામ જન્મ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને સોનાના પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ફુલ વર્ષા સાથે ઘનશ્યામ જન્મોત્સવનાં વધામણા કરવામાં આવ્યા હતાં. જ્યારે રાત્રિનાં સમયે નિશાદભાઈ સોની એન્ડ ગ્રૂપ દ્વારા મહારાસોત્સવની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં હરિભક્તો જોડાયા હતાં અને રાસની મોજ માણી હતી. તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. આ તકે મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી આગામી તા. 21 એપ્રિલનાં નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો પાટોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામનાં બાલ સ્વરૂપને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ત્યારે સંતો, કથાનાં યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો. તો ભક્તો પણ ઘનશ્યામ જન્મોત્સવનાં રંગે રંગાઈ ગયા હતાં. ઘનશ્યામ જન્મોત્સવને લઈને રાત્રિનાં સમયે મહારાસોત્સવ યોજાયો હતો. જેમાં પણ મોટીસંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતાં અને રાસની રમઝટ બોલાવી હતી.કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સવારે 8:30થી 11:00અને બપોરે 3:30થી 6:30 સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપ રહ્યા છે, જ્યારે સભા સંચાલન શા.સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, આવતી કાલે તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. ઠાકોરજીની શોભાયાત્રા પણ યોજાશે.
મંડે પોઝિટીવ:બાઈક પર મ્યુઝિક સાથે રોજ 100થી વધુ શ્વાનો-ગાયોની સેવા
શહેરમાં રોજ રાત્રે એક વાહનચાલક પોતાના બાઇક પર મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખી, કુતરાઓ અને ગાયોને ખવડાવતા લોકોએ જોયું હશે. રોજ રાત્રે 10 વાગ્યાથી લઈને 1-2 વાગ્યા સુધી ચાલતી આ સેવા એક જીવદયાની જીવંત પ્રેરણા છે. જીગ્નેશભાઈ ખેતશીભાઈ પીઠડીયા (દરજી) માટે આ સેવા એક લાગણીની ઘટના પરથી શરૂ થઈ. પિતાના અવસાન બાદ તેમને સમજાયું કે જીવનમાં સારા કાર્યો જ સાચી મૂડી છે. ત્યારબાદ ઘરે 11 વર્ષથી રહેલી ‘માજી’ નામની કુતરીના અવસાનએ તેમની અંદર સેવાકાર્યનું બીજ બોયું. આજે તેઓ માત્ર કુતરાઓને જ નહીં, પણ ગાયોની પણ સેવા કરે છે. રોજ લગભગ 100થી 120 કુતરાઓ અને 50થી 60 ગાયોને ખવડાવે છે. સવારે શાકભાજી લાવી સાંજે પરિવાર સાથે કટિંગ કરીને તૈયાર કરે છે અને સાથે 15 કિલો પેડિગ્રી પણ આપે છે. બાઈક પર મ્યુઝિક સિસ્ટમ રાખવાનું કારણ પણ રસપ્રદ છે, તેમનું માનવું છે કે, મ્યુઝિક સાંભળીને કુતરાઓ તેમને ઓળખી જાય અને પાસે આવી દોડે છે. શરૂઆતમાં થોડો ડર હતો, પરંતુ હવે પ્રાણીઓ તેમને ઓળખી ગયા છે. ઘણી વખત એવા વિસ્તારોમાં લોકો કહે છે કે, આ કુતરાઓ કોઈની પાસે ખાતા નથી, માત્ર તમારી રાહ જોતાં હોય છે. આ સેવાકાર્યમાં પરિવાર અને મિત્રોનો ઘણો સહકાર છે. લોકો પણ મદદ કરે છે. સાથે જ ક્યારેક નકારાત્મકતા પણ મળે છે, પરંતુ તેઓ એ બધું જતું કરીને સેવા યાત્રા ચાલુ રાખે છે. તેમના માટે સેવાનો સૌથી ક્ષણ એ છેકે, જ્યારે ભૂખ્યા કુતરાઓને ખવડાવ્યા પછી તેમની આંખોમાં જે ખુશી જોવા મળે છે. તે જોઈને પોતાનો બધો થાક ઓગળી જાય છે. દરરોજ 28 કિમીનો રૂટહરસિદ્ધિ સોસાયટીથી શરૂઆત કરી મંગલમ રોડ – મીરજાપર હાઇવે – ત્યાંથી મોટા બંધ નીચે –જ્યુબિલી સર્કલ – મિલિટરી સ્ટેશન અને અંતે કેસર રોડ તથા આરટીઓથી અંદર સિદ્ધિવિનાયક મંદિર રોડ સુધીનો કુલ 14 કિમી સાથે જવાના 14 મળી કુલ 28 કિમીનો રૂટ કવર કરે છે. દિવસભર નોકરી બાદ પણ 2.5 વર્ષથી અવિરત સેવા ચાલુ છેતે છેલ્લા 2.5 વર્ષથી રોજ આ સેવા કાર્ય કરે છે. દિવસભર પ્રાઇવેટ નોકરીમાં મહેનત કરીને થાક લાગ્યો હોવા છતાં, તેમની સેવા પ્રત્યેની લાગણી ક્યારેય ઓછી પડી નથી. આ સેવા કાર્યનો જ્યારથી તેમણે નિર્ણય લીધો છે ત્યારથી, રાત્રિના કોઈ લગ્ન પ્રસંગ હોય કે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ ટાળ્યું છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કુકમાથી વાવડી વચ્ચે 9 કિમીનો 6 કલાક સુધી ચક્કાજામ
ભુજ અને અંજારને જોડતો મુખ્ય ધોરીમાર્ગ અત્યારે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. ભીમાસરથી ધર્મશાળા ધોરીમાર્ગ અંતર્ગત ભુજ- અંજાર ધોરિમાર્ગ પર પડતર રહેલા રેલડી ઓવરબ્રિજના કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે કુકમાથી વાવડી પાટિયા સુધીના 9 કિલોમીટર લાંબા પટ્ટામાં 6 કલાક સુધી ટ્રાફિકના પૈડાં થંભી ગયા હતા, જેને જોતા લોકોમાં ચર્ચા જાગી છે કે રેલડી હવે ભુજોડી જેવી જ ગંભીર ટ્રાફિક સમસ્યાની ‘બેલડી’ બની ગઈ છે. રવિવારે સાંજે સ્થિતિ અત્યંત સ્ફોટક બની હતી. માલવાહક ટ્રકો, એસ.ટી. બસો અને ખાનગી વાહનો કલાકો સુધી રસ્તા પર જ જકડાઈ ગયા હતા. ગરમી વચ્ચે વાહનચાલકોના નાકે દમ આવી ગયો હતો. રાજકોટથી કચ્છ આવેલા મૌલિક શાહના જણાવ્યા અનુસાર, સાડા ચારેક વાગ્યાથી તેઓ આ ટ્રાફિકજામમાં રાત્રે સાવ દસ સુધી ફસાયેલ રહ્યા હતા. ટ્રાફિકના સમાચાર ધ્યાને આવતા મુસાફરોએ પધ્ધર અને ધાણેટી રસ્તો પસંદ કરી મુસાફરી ચાલુ રાખી હતી. માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ ગંભીર છે. વન-વે રસ્તાઓ અને અચાનક આવતા ડાયવર્ઝનને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પૂરતી સાઈનબોર્ડની સુવિધા કે લાઈટિંગના અભાવે વાહનચાલકો મૂંઝવણમાં મુકાય છે. રાત્રે પધ્ધર પોલીસ ઇન્સ્પેકટર એ.ડી ખાંટએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું હતું કે, ભુજ અંજાર ધોરીમાર્ગ પર લાંબો ટ્રાફિકજામ થતા સૂચના મળતા જ પધ્ધર પોલીસ સ્થિતિ નિયંત્રણ માટે પહોંચી છે. બીજીતરફ કુકમા ટોલ પ્લાઝા સુધી આ જામની અસર વર્તતા વન વે બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે ઘણીવખત અહીં સ્લો પ્રોસેસના કારણે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો તે ટ્રકને 6 કલાક બાદ રસ્તા પરથી ખસેડવામાં આવી હતી. બ્રિજનું અધૂરું કામ, વાહનચાલકો વન-વેનો ભોગભુજ-અંજાર હાઈવે નવો બન્યો હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રેલડી પાસે છેલ્લા બે વર્ષથી નકશા થકી ઓવરબ્રિજ ન બનતા વાહનોને સાંકડા સર્વિસ રોડ અથવા ડાયવર્ઝન પરથી પસાર થવું પડ્યું હતું. તેમાંય વળી, કુકમા, રતનાલ અને સાપેડા પાસે રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા અનેક જગ્યાએ વન-વે જાહેર માર્ગ બનાવી દેવામાં આવ્યો છે. એક તરફથી આવતો ટ્રાફિક બીજી તરફ અટવાતા કુકમા ટોલ પ્લાઝા પાસે વાહનોની લાંબી કતારો દૈનિક ઘટના બની ગઈ છે. ગૂગલમાં પોણો રસ્તો રેડઝોન, ગ્રીનઝોનમાં પણ ટ્રાફિકરવિવારના ટ્રાફિકજામમાં ગૂગલ મેપમાં કેટલાક ભાગમાં મુખત્વે રેડ ઝોન દર્શાવતું હતું, જો કે કે ક્યાંક ગ્રીન ઝોન પણ હતું જ્યાં હકીકતમાં ટ્રાફિકજામ હતો. તેનું કારણ એ છે કે, ગૂગલ મેપ મુખ્યત્વે ક્રાઉડસોર્સિંગ અને આધુનિક અલ્ગોરિધમ પર કામ કરે છે. જ્યારે આપણે સ્માર્ટફોનમાં લોકેશન ચાલુ રાખીને મુસાફરી કરીએ છીએ ત્યારે આપણો ફોન અનામી રીતે ગૂગલને ડેટા મોકલે છે કે આપણે કેટલી ઝડપે આગળ વધી રહ્યા છીએ. જો કોઈ એક ચોક્કસ રસ્તા પર ઘણા બધા ફોન સામાન્ય ગતિ કરતા ધીમી ગતિએ ચાલતા હોય તો ગૂગલનું સર્વર સમજી જાય છે કે ત્યાં ટ્રાફિક જામ છે. આ માહિતીને તે લીલા, નારંગી અને લાલ રંગો દ્વારા નકશા પર દર્શાવે છે. જો કોઈ રસ્તા પર જામ હોય પણ ત્યાં હાજર લોકોના ફોનમાં ઇન્ટરનેટ કે જીપીએસ બંધ હોય તો ગૂગલને એ જામની જાણકારી મળતી નથી અને મેપમાં રસ્તો ખાલી દેખાય છે.
આજે માવઠાની આગાહી:બપોરે તાપમાન ઘટીને 37.8 ડિગ્રી થયું
ભાવનગર શહેર અને જિલ્લામાં આવતી કાલ તા.20 અને 21 એપ્રિલ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી લંબાવવામાં આવી છે. ત્યારે આજે માવઠાની આગાહી વચ્ચે સાંજ સુધી તાપમાન ઘટીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ જો કે રાતનું ઉષ્ણતામાન વધીને 26.8 ડિગ્રી થઇ ગયુ હતુ. આજે રવિવારે સાંજે શહેરમાં પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. હાલમાં રાજસ્થાન-મધ્યપ્રદેશ અને પાકિસ્તાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન અને ભેજની પટ્ટી (ટ્રફ)ની સિસ્ટમ સક્રિય છે, જેથી 20 અને 21 એપ્રિલે 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકશે અને 23 એપ્રિલ સુધી વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલેુ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને. 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે રાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે ભેજ સાથે બફારો વધ્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હતુ જે સાંજે 22 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. જેથી ગરમીમાં રાહત રહી હતી. રાત્રે વધતું તાપમાન
વીજકાપ:ભાવનગરમાં કાલે શિવનગર ફીડરમાં છ કલાકનો વીજકાપ
પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન નીચે આવતા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન સહિત વીજળી લાઈન મરામત કામગીરી અનુસંધાને આગામી તા.20મી થી 24મી એપ્રિલ-2026 સુધી ચાર દિવસ તબક્કાવાર વીજકાપ લદાયો છે. શહેરમાં તા.21મી એપ્રિલને મંગળવારે 11 કે.વી. શિવનગર ફિડરમાં મરામત કામગીરી દરમિયાન સ્વસ્તિક આર્કેડ, પ્લેટિનમ કોમ્પ્લેક્ષ, માધવનગર 1-2-3, નંદગ્રામ સોસાયટી 1-2, રાધેશ્યામ સોસાયટી, ભક્તિનગર 1-2-3, પરમેશ્વરપાર્ક, ટોપ-થ્રી, નંદવિલેજ, લુહાર જ્ઞાતિની વાડી, અમિધારા, શિવપાર્વતિ, શિવસાગર 1-2, તરસમિયા, ખારશી, ટોપ-થ્રી થી ગોપાલનગર, શિવનગર પાટીયા, સ્વપ્નસૃષ્ટી, શિવસૃષ્ટી, ઘનશ્યામનગર, ખોડિયારનગર અને ચંદ્રપાર્ક આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ રહેશે. તા.22મી એપ્રિલને બુધવારે સંસ્કાર મંડળ ફિડર નીચે આવતા રૂપાણી સર્કલ, ગુલીસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આસપાસનો વિસ્તાર, આતાભાઈ ચોક, જવાહર મેદાન, તપસીબાપુની વાડીની આસપાસનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ આસપાસનો વિસ્તાર, રિલાયન્સ પેટ્રોલ પંપથી સહકારી હાટ સુધીનો રોડ, જોગર્સ પાર્કની આસપાસનો વિસ્તાર, સુરભી મોલ, ઈવા સુરભી, ઘોઘા સર્કલના વિસ્તારમાં વીજકાપ રહેશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત
વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ મોત નિપજ્યું હતું. વલભીપુર તાલુકાના મોણપુર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ જોરૂભા રાયજાદા (ઉ.વ.55) નવાગામના ઢાળ પાસે મારૂતી પાન પાર્લરની દુકાને મજુરીકામ કરતા હતા. જે દરમિયાન તેઓ મજુરીકામ કરતી મોડી સાંજે ઘરે પરત ફરતા હતા. તે વેળાએ નવાગામના ઢાળ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ એક પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને અનિરૂદ્ધસિંહ કંઇ સમજે એ પહેલા જ કારના ચાલકે અનિરૂદ્ધસિંહ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતની ઘટનામાં અનિરૂદ્ધસિંહ રાયજાદા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા તેમને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બાદ તેમને ગંભઈર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ફરાર થયેલા કાર નં. GJ 01 HR 9048નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જે મામલે અનિરૂદ્ધસિંહના પુત્ર જયપાલસિંહ રાયજાદાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે \નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો
વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના 304માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' આજે ભાવનગર શહેરમાં સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગરનું રેલવે સ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતોમા વિજેતા થયેલા મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.
યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજા દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવાના હેતુસર ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે. યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હાવડા જંકશન વચ્ચે “સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. આ સેવા ભાવનગર ટર્મિનસથી 20 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ સંચાલિત થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતુ કે ભાવનગર ટર્મિનસ – હાવડા જંકશન સમર સ્પેશિયલ 20 એપ્રિલ અને 27 એપ્રિલે ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવારે સાંજે 5:45 કલાકે પ્રસ્થાન કરી બુધવારે રાત્રે 9:40 કલાકે હાવડા જંકશન પહોંચશે. તદનુસાર પરત ફરતી ટ્રેન હાવડા જંકશન – ભાવનગર ટર્મિનસ સમર સ્પેશિયલ 23 એપ્રિલ 2026 અને 30 એપ્રિલના રોજ દોડશે. આ ટ્રેન હાવડા જંકશનથી ગુરુવારે સવારે 10:50 કલાકે પ્રસ્થાન કરી શનિવારે સવારે 06:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ક્યા ક્યા સ્ટેશને આ ટ્રેન ઉભી રહેશેઆ ટ્રેન બંને દિશામાં સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, અજમેર જંકશન, જયપુર જંકશન, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા જંકશન, ઈદગાહ જંકશન, ટુંડલા જંકશન, ગોવિંદપુરી, પ્રયાગરાજ જંકશન, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા જંકશન, કોડરમા, ધનબાદ જંકશન, આસનસોલ જંકશન, દુર્ગાપુર, બર્ધમાન અને બૈંડેલ જં. સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટૂંક સમયમાં બુકિંગનો આરંભ થશેટ્રેન માટે ટિકિટોની બુકિંગ મુસાફરો માટેના આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ પર ટૂંક સમયમાં શરૂ થશે. યાત્રિયો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
મંડે પોઝિટીવ:રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક
આધુનિક વિશ્વ 21મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે.માહિતીનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે શાળામાં બાળકને શિક્ષણની સાથે- સાથે મૂલ્ય શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ 6થી 8માં એક વિષય તરીકે અભ્યાસમાં લેવામાં આવેલ છે, ત્યારે પાલિતાણા તાલુકાની લુવારવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધો.8નાં બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના સુંદર શ્લોકોનું પારાયણ કરે છે. સાથે સંસ્કૃત ભાષા પ્રત્યે બાળક જાગૃત બને અને સંસ્કૃત ભાષા ગમતી થાય તે બાબતને ધ્યાનમાં લઈ શાળાના શિક્ષક જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ અને આચાર્ય હરેશભાઈ મકવાણા તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનું બાળકોને સરળ ભાવાર્થ કરી આપવામાં આવે છે અને સાથે લખી પણ આપવામાં આવે છે. બાળકએ શ્લોક પાકો કરે પછી રિસેસમાં રેકોર્ડ કરી youtube અને facebook પર મુકવામાં આવે છે. અત્યાર સુધી 280 શ્લોક પૂર્ણ કરેલ છે તેમજ ગીતાજીના 700 શ્લોક પૂર્ણ કરવાનું આયોજન છે. જીતેશભાઇ સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે 'પ્રેરણાથી પાંગરતું જીવન' શીર્ષક અંતર્ગત વિવિધ મહાનુભાવોના જીવન ચરિત્રો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા સતત માર્ગદર્શન આપતા રહે છે. ધો.6થી 8માં શિક્ષણ અંતર્ગત અભ્યાસરાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે છે. જેમાં ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવાનો હેતુઆ અભ્યાસક્રમનો અમલ 2022-23 શૈક્ષણિક વર્ષથી શરૂ થયો છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવું, સારા-ખરાબની સમજ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધારવી, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો પરિચય કરાવવો તેમજ સરળ ભાષામાં પસંદ કરેલા શ્લોકો અને શ્લોકોના અર્થ અને જીવનમાં તેનો ઉપયોગ કથાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે. ગીતાના મૂલ્યોથી વિદ્યાર્થીઓના જીવનમાં કૌશલ્ય અને નૈતિક મુલ્યો વિકસે તે મુખ્ય હેતુ છે.
અલકાપુરીના મૃતક બિલ્ડર અને ‘રેકવિના ફાર્મા’ કંપનીના માલિક સ્વ.મુકેશ જમનાદાસ શાહ અને બે પુત્રો અમિત અને સુરભિત શાહ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલો અંદાજે રૂ. 5 કરોડની કિંમતનો બંગલો પચાવી પાડવા માટે મૂળ માલિકની ખોટી સહીઓ કરી, બાનાખત તેમજ દસ્તાવેજ બનાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. કોર્ટના હુકમ બાદ મૃતક પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા 68 વર્ષીય ડૉ. નીના દશરથ પરીખની માલિકીનો બંગલો (નંબર 36, સંપતરાવ કોલોની, અલકાપુરી) વડોદરામાં આવેલો છે. તેમના પિતાનું જાન્યુઆરી-2003માં અવસાન થયું હતું, પરંતુ તે પહેલાં તેમણે નવેમ્બર-2002માં ડૉ. નીનાના નામે મિલકતનું વસિયતનામું (વીલ) કર્યું હતું. આથી, દશરથભાઈની તમામ મિલકતના માલિક ડૉ. નીના થયા હતા. 1992માં મૃતક મુકેશ જમનાદાસ શાહ (રહે. સંપતરાવ કોલોની, અલકાપુરી)ને આ મિલકત લીઝ (ભાડે) પર આપવામાં આવી હતી. જોકે, પાછળથી તેમણે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2010માં ડૉ. નીનાએ મુકેશ શાહને બંગલો ખાલી કરવા અને બાકી ભાડું ચૂકવવા નોટિસ આપી હતી. જેના જવાબમાં મુકેશે દાવો કર્યો હતો કે, દશરથભાઈએ સપ્ટેમ્બર-2002માં બંગલાનું બાનાખત કરી આપ્યું છે અને માત્ર વેચાણ દસ્તાવેજ બાકી છે. તપાસમાં બહાર આવ્યું કે મુકેશે દશરથભાઈની ખોટી સહી કરી ₹50ના સ્ટેમ્પ પેપર પર બાનાખત ઊભું કર્યું હતું, જેનું નોટરી કે રજિસ્ટ્રેશન થયેલું નહોતું. તે વખતે આ મામલે મુકેશે કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો અને જણાવ્યું હતું કે બાનાખત મુજબની બાકી રકમ ₹15 લાખ ફેબ્રુઆરી-2003માં ચૂકવી દીધી છે. વાસ્તવમાં તે સમયે દશરથભાઈ હયાત જ નહોતા. મુકેશ શાહ અને તેના પુત્રો અમિત તથા સુરભિતે ડૉ. નીનાનો બંગલો પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું. પિતાના અવસાન બાદ તેમની ખોટી સહીઓ અને બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ ગોત્રી પોલીસે મૃતક પિતા મુકેશ જમનાદાસ શાહ અને બંને પુત્રો અમિત અને સુરભિત સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે પુત્રોના નામે બંગલાનો દસ્તાવેજ કરાવ્યોમુકેશ શાહે વર્ષ 2009માં તેના પુત્રો અમિત અને સુરભિતના નામે વેચાણ દસ્તાવેજ, દશરથભાઈની પાવર ઓફ એટર્નીના આધારે સબ-રજિસ્ટ્રારની કચેરીમાં રજિસ્ટર કરાવ્યો હતો. દસ્તાવેજની તારીખે દશરથભાઈ હયાત ન હોવા છતાં, છળકપટથી ખોટો દસ્તાવેજ ઊભો કરી ત્રણેય આરોપીઓએ મિલકત હડપવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશ શાહની ગોત્રીની સ્કીમમાં ભારે વિવાદ થયો હતોબિલ્ડર મુકેશ શાહ દ્વારા ગોત્રી-ભાયલી રોડ પર ‘અક્ષર પેવેલિયન’ નામની સ્કીમ મૂકવામાં આવી હતી, જે ભારે વિવાદમાં રહી હતી. આ મામલો રેરા સમક્ષ પણ પહોંચ્યો હતો. ઘણા ગ્રાહકોએ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હજુ સુધી કબજો ન મળ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ બિલ્ડર અન્ય કોઈ વિવાદોમાં સંડોવાયેલો છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.
યુવક ઉપર જીવલેણ હુમલો:છાણી જકાતનાકા પાસે કાસમઆલા ગેંગના સાગરિતોનો યુવક પર હુમલો
શહેરના છાણી જકાતનાકા નજીક યુવકને માથાભારે કાસમઆલા ગેંગના હસન સહિત ત્રણે યુવકને રોકીને માર માર્યો હતો. કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્ની સામે અરજી કેમ આપી તેમ જણાવી યુવકને માર માર્યો હતો. હાથીખાના ખાતે રહેતો નાવેદઅલી મોહમ્મદઅલી અંસારી ભંગારનું કામ કરે છે. તા.19 એપ્રિલ, રવિવારના રોજ નાવેદ રિક્ષામાં છાણી જકાતનાકા દીપ ટોકીઝ પાસે ગયો હતો. તે પેપર પસ્તી સહિત ભંગાર લઈને નવાયાર્ડ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારેલીબાગ કાસમઆલા ખાતે રહેતો હસન સુન્ની સાથે અન્ય બે ઈસમ આવ્યા હતા. હસન જૂની અદાવત રાખી કહેવા લાગ્યો હતો કે, તે મારા ભાઈ હુસૈન વિરુદ્ધ કેમ અરજી આપી હતી? આ દરમિયાન સાથે આવેલા બે ઈસમે નાવેદને પકડી રાખ્યો હતો, જ્યારે હસને અપશબ્દો બોલીને નાવેદને માર માર્યો હતો. સાથે જ હસને છરો બતાવીને નાવેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે ફતેગંજ પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રજાનો અવાજ:ખોડિયારનગરમાં 1.25 લાખ રહીશોનો પાણીનો પોકાર, રસ્તે દબાણોથી ટ્રાફિક જામની પળોજણ
ખોડિયારનગર વિસ્તાર બે દાયકાથી વિસ્તર્યો છે, પણ વિસ્તારની વસ્તી વધતાં હવે સમસ્યાઓએ માથું ઊંચક્યું છે. વિસ્તારના સવા લાખ લોકોનો પોકાર પાણી માટે છે. વસ્તી વધતાં આ સમસ્યા વકરી છે. પાણીના ટેન્કરો મોકલવામાં કોર્પોરેટરોની વ્હાલા-દવલાવાળીથી રહીશોમાં આક્રોશ છે. કેટલાક ફ્લેટ્સ ટેન્કરો માટે કાગડોળે રાહ જોવા મજબૂર બને છે, ઘણાખરા જાતે ખિસાના રૂપિયા ખર્ચી ટેન્કર મગાવી લે છે. સાથે તંત્રની મહેરબાની કે બેદરકારીથી ફાટી નીકળેલાં દબાણોથી રસ્તા ઘેરાઇ ગયાં છે. પોલિસ કે પાલિકાના અધિકારીઓ જાત જવાબદારી સમજીને કશું નક્કર કરતા નથી અને રજૂઆત કરીને લોકો થાક્યા છે. હવે લાચારીભર્યો અહેસાસ ખાસ કરીને પિક અવર્સમાં નીકળેલા વાહનચાલકોને થાય છે. ઉનાળામાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે સાંજે આ સમસ્યાને પગલે ધુમાડિયા ગેસ ચેમ્બરમાં ગૂંગળામણ સહેવાનો વારો આવે છે. કેટલાક રસ્તા અધૂરા છે અને કેટલાક રસ્તે વેરવિખેર કચરાના દૃશ્યો પણ જોવા મળે છે. ટ્રાફિક પોલીસના દર્શન દુર્લભ, વીજ યુનિટના ટેકે પણ દબાણોરહીશો કબૂલે છે કે, વિકાસ કાર્યો માટે રસ્તો ખોદાય, તેથી સંકડામણ સહન કરી લઇએ, પણ કોઇ પીઠબળથી માર્ગ પર ધરાર દબાણ કરે, અમે આપદા ભોગવીએ અને તંત્ર કશું કરે નહીં તેની સામે અકળામણ છે. સાકેત ફ્લેટ સામે વીજ યુનિટની પેટીબંધ માળખાના પાછળના બે અને આગળ રસ્તા પર વાંસ ગોઠવી માથે લાલ પડદો નાખી દબાણ કરાયું છે, અહીંનો રસ ગટગટાવી કોણ તેને હટાવતું નથી તેવી ફજેતી સ્થાનિકો કરે છે. પાણીના સતત ઓછા પ્રેશરને કારણે રહીશો ટેન્કર મગાવવા મજબૂર
મન્ડે ફોટો સ્ટોરી:છાણીના છેવાડે કાટમાળ ફેંકાતાં ભૂખીનો રસ્તો રોકાયો,ફરી જળ બંબાકારનું જોખમ
દુમાડ બ્રિજ નીચેથી સોખડા-છાણી રોડ સમાંતરે વડોદરામાં પ્રવેશતી ભૂખી કાંસ અને આસપાસનો વિસ્તાર કાટમાળનું ડમ્પયાર્ડ બન્યો છે. પાંખી અવર-જવરવાળા વિસ્તારમાં ભૂખી કાંસ લગભગ પૂરાઇ ગઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ ભૂમિ ગોપાલ કી જેમ આ કાંસ રોજેરોજ પૂરાઇ રહી છે. બે વર્ષ અગાઉ પણ આ જ કાંસ પૂરાતાં છાણીમાં પાણી ભરાયાં હતાં. હવે જો આગામી દિવસોમાં આ કાંસ નહીં ખોલવામાં આવે તો આગામી ચોમાસામાં 25 હજારથી વધુ છાણીવાસીઓ માટે જળ બંબાકારનું જોખમ તોળાયેલું છે. ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ સફાઇ કરવી પડેઆ કાંસના વિસ્તારમાં ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ જનહિતના મુદ્દાને અને એનજીટીના ચુકાદા, ગાઇડ-લાઇનને ધ્યાને રાખી પણ કાંસની સફાઇ કરવી અનિવાર્ય છે. છાણીવાસીઓને આ કાંસની જાણકારી છે તો તેને ડ્રેનેજ વિભાગે સત્તાવાર દરજ્જો કેમ ન આપ્યો. કરોડોના પ્રિમોન્સૂન સરવેમાં આ કાંસ કેવી રીતે રહી ગઇપાલિકા પ્રિમોન્સૂન સરવેની કામગીરીમાં ભૂખી કાંસ કેવી રીતે રહી ગઇ. તાજેતરમાં કાંસોને પહોળી કરવાની અને પાઇપો નાખવાની કામગીરી થઇ રહી છે ત્યારે આ કાંસને પણ છાણીના 25 હજાર જેટલા લોકોનું હિત ધ્યાને લઇને સાફ કરાય તે ઇચ્છનીય છે. લોકેશનની તપાસ કરાવીને શક્ય હોય તો સફાઇ કરાશેહું વિસ્તારમાં 3 વર્ષથી કાર્યરત છું. ચોક્કસ લોકેશન હું ઓળખી રહ્યો નથી. લોકેશનની તપાસ કરાવ્યા બાદ શક્ય હશે તો સફાઇ કરાશે. અગાઉ પણ કાંસ અવરોધાવાથી છાણીમાં પાણી ઘૂસ્યાં હતાં. > નૈષધ શાહ, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, પૂર્વ ઝોન
શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા પ્રતિભા ન્યૂઝરૂમની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ એન્કર બની સમિતિની સ્કૂલોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને સરકારી યોજના વિશે સમાચાર પ્રસ્તુત કરે છે. હાલની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિદ્યાર્થીએ કલેક્ટરનો ઈન્ટર્વ્યુ પણ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ચાલતી પ્રતિભા ન્યૂઝ પર પ્રસ્તુત કરાશે. આ માધ્યમ થકી સમાચાર, ઈવેન્ટ અને વિદ્યાર્થીઓના સિતાર કે હાર્મોનિયમ જેવાં સાધનો વગાડતાં પરર્ફોર્મન્સ પણ બતાવાય છે. શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં 10 માર્ચે પ્રતિભા ન્યૂઝના નામથી સ્ટુડિયો શરૂ કરાયો છે. જેમાં સમિતિના વિદ્યાર્થી એન્કર બની ન્યૂઝ રજૂ કરે છે. પ્રતિભા ન્યૂઝ શરૂ કરવા પાછળ સમિતિની 121 પ્રાથમિક સ્કૂલો અને 10 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ છે. પ્રતિભા ન્યૂઝમાં સમિતિની સ્કૂલોમાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે અને શિક્ષણ વિભાગ દ્વારા કઈ નવી યોજના લવાઈ રહી છે સહિતની બાબતોના સમાચાર પ્રસારિત કરાય છે. શિક્ષકો સમાચાર લખે છે, તે પછી વિદ્યાર્થી એન્કર બની તેને પ્રસ્તુત કરે છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ ન્યૂઝરૂમનું સંચાલન કરશે. બાળકોનો ડર દૂર થયો, પ્રતિભા ખીલીસમિતિની મુખ્ય કચેરીના બીજા માળે પ્રતિભા ન્યૂઝનો સ્ટુડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીઓનું ટેલન્ટ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ છે. આ માધ્યમથી તેમનો ડર દૂર થયો છે અને પ્રતિભા ખીલી છે. હાલ 10 સ્કૂલનાં બાળકો જોડાયાં છે. > ડો.વિપુલ ભરતિયા, શાસનાધિકારી, શિક્ષણ સમિત પહેલા અનુભવમાં મને ખૂબ શીખવા મળ્યુંહું અટલાદરાની ડો.શ્યામાપ્રસાદ મુખર્જી કન્યા પ્રા. શાળામાં ધો.7માં અભ્યાસ કરું છું. સ્કૂલમાં કાર્યક્રમ હોય તો એન્કરિંગ પણ કરું છું. મને શિક્ષકે સ્ક્રિપ્ટ આપી હતી. તે પછી મેં ન્યૂઝ વાંચ્યા હતા. મારો પહેલો અનુભવ છે. > ગ્રીષ્ણા રઘુવીરસિંહ રાણા, વિદ્યાર્થિની
આપઘાત:રાજકોટની નાગેશ્વર સોસાયટીમાં જમીન મકાનના દલાલનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં જમીન-મકાનના બ્રોકર તરીકે કામ કરતા એક આધેડે માનસિક તણાવને કારણે ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. પુત્રને રોડ પર બાઈક જોવા મળતા તપાસ કરતા પિતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. શહેરના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટી મેઈન રોડ પર આ બનાવ બન્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, માધાપર ગામમાં રહેતા મુકેશભાઈ માલદેભાઈ ઘેડિયા (ઉં.વ.62) શનિવારે રાત્રે અંદાજે સાડા આઠેક વાગ્યાના અરસામાં સેન્ટ્રલ બેન્ક નજીક ઝેરી દવા પી લેતા બેભાન થઈ ગયા હતા. મૃતકના પુત્ર રવિએ જણાવ્યું હતું કે, તે નાગેશ્વર રોડ પર જ રહે છે. શનિવારે રાત્રે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સેન્ટ્રલ બેન્ક પાસે પિતાનું બાઈક ઊભેલું જોવા મળ્યું હતું. શંકા જતા તેણે આસપાસ તપાસ કરતા નજીકમાં જ પિતા મુકેશભાઈ બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા.
રાજકોટમાં ફરી એકવાર બાળ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં કુવાડવા રોડ વિસ્તારમાં 8 વર્ષની નિર્દોષ બાળકી સાથે ચોકલેટના બહાને અશ્લીલ હરકત કરનાર 65 વર્ષીય ભાભા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી છે. આ શખ્સે કુવાડવા રોડ પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, માલિયાસણ ગામના સનરાઇઝ પાર્ક વિસ્તારમાં રહેતો વિનુ કુંભાર(ઉ.વ.65) જે કટલેરીનો ધંધો કરે છે, તેના વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક 8 વર્ષીય બાળકીની માતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 19 એપ્રિલ 2026ના રોજ બપોરના અરસામાં શેરીમાં રમતી ફરિયાદી મહિલાની 8 વર્ષની દીકરીને ચોકલેટ આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. ફરિયાદ મુજબ, નિર્દોષ બાળકીને ભોળવીને આરોપી પોતાના ઘરે અંદર લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકીના કપડાં ઉતારી તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. ઘટના બાદ બાળકીએ ઘરે જઈ પરિવારને સમગ્ર વાત જણાવી, જેના આધારે માતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં આક્ષેપ છે કે વૃદ્ધ હોવા છતાં આરોપીએ માનવતા ભૂલી જઇ નરાધમ જેવી હરકત કરી છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) તેમજ પોક્સો અધિનિયમ 2012ની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ભગોરા અને તેના સ્ટાફે આરોપીને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકીને ચોકલેટની લાલચ આપી આરોપીએ ખોટો લાભ લઈ આ કૃત્ય આચર્યું હતું. પોલીસે ભોગ બનનાર બાળકીની મેડિકલ તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી આદરી છે. આ સંવેદનશીલ બનાવે ફરી એકવાર બાળ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ત્યારે શખ્સે અજાણ્યા ટોળા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં IPL મેચ પર સટ્ટાબાજી:કોઠારિયા નાકા પાસે 3 શખ્સ ઝડપાયા
IPL 2026 ટી-20 ક્રિકેટ મેચના રોમાંચ વચ્ચે સટ્ટાબાજીનો ધંધો પણ જોર પકડી રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર બ્રાન્ચ (PCB)ની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કોઠારિયા નાકા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ તા. 18 એપ્રિલની મધરાતે PCBના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે કોઠારિયા નાકા પાસે RMCના પે એન્ડ પાર્કિંગની ફૂટપાથ પર રેડ કરવામાં આવી હતી. જ્યાં ત્રણ શખ્સ મોબાઇલ ફોન મારફતે IPL મેચ SRH સામે CSK તથા અન્ય મેચોમાં રનફેર પર રૂપિયા હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે નિસાર પલેજા, રાજ ભાલિયા અને કરણ ધોળકિયા નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેયના મોબાઇલ ફોનમાંથી સટ્ટાબાજી સંબંધિત કોલ હિસ્ટ્રી અને ઓનલાઇન આઈડી મળી આવી હતી. તેમજ તેમની પાસે નોંધપોથીમાં સટ્ટાના આંકડા પણ નોંધાયેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ આશરે 28 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન અને અન્ય સામાન કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઈ-સાક્ષ્ય એપ દ્વારા વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્વામિનારાયણ ચોક પાછળ આવેલો મનપાનો બગીચો હરિયાળીને બદલે ઉજજ્ડ બની ગયો
રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખાનું એક જ કામ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા બગીચા બનાવવા અને તે હરિયાળા રાખવા. જોકે શહેરના પીડીએમ કોલેજ પાછળ આવેલા સ્વામિનારાયણ ચોકમાં ક્રિષ્નાનગરમાં આવેલા પોપટ બગીચાની હાલત હવે બગીચો કહેવા જેવી રહી નથી. તંત્રની ઉપેક્ષાને કારણે આ સ્થળ બગીચાને બદલે વેરાન બની ગયું છે. ક્રિષ્નાનગરમાં રહેતા અશોકભાઈ જણાવે છે કે, આ બગીચાની હાલત દયનીય થઈ ગઈ છે. આ કારણે હવે તેને બગીચો કહેવો પણ યોગ્ય નથી. આ બગીચો બાળકોના રમવા માટે તેમજ સિનિયર સિટિઝનને વોકિંગ કરવા માટે એકમાત્ર સહારો છે. પરંતુ તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે વિસ્તારવાસીઓએ મૌખિક રજૂઆતો કરી છે પણ તંત્ર અને નગરસેવકોના બહેરા કાને રજૂઆતો અથડાઈને પાછી આવી રહી છે. જેથી હવે કોઇ જાગે અને આ સ્થળને ખરેખર બગીચો બનાવે તેવી જરૂર છે. પોપટ બગીચાની આ છે મુખ્ય સમસ્યાઓ
છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વૃદ્ધાના માનસિક અસ્થિર પુત્રની જમીન હડપવા ભત્રીજાઓનો પ્રયાસ
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધા કાંતાબેન પ્રવીણભાઈ વિરોજાએ પોતાના માનસિક અસ્થિર પુત્રની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા મામલે સગાં-સંબંધીઓ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. કાંતાબેનનો મોટો પુત્ર અલ્પેશ આઠ વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ માનસિક રીતે અસ્થિર છે. આ નબળાઈનો ગેરલાભ ઉઠાવી પરસોત્તમ મૈયાભાઈ અકબરી અને અંકિત શૈલેષભાઈ ભાલોડી નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ અલ્પેશ સાથે નિકટતા કેળવી તેને વાતોમાં ભોળવ્યો હતો અને બાલાજી હોલ પાછળ આવેલી નોટરી ઓફિસે લઈ જઈ સહીઓ કરાવી લીધી હતી. આ રીતે કોટડાસાંગાણીના અરડોઈ ગામની ૧૬ વીઘા જમીનનો માત્ર રૂ. ૧૪ લાખમાં સાટાખત કરાવી લીધો હતો. આ છેતરપિંડીની જાણ પરિવારને નવેમ્બર ૨૦૨૫માં મળેલી નોટિસ બાદ થઈ હતી. વૃદ્ધાનો આક્ષેપ છે કે પોલીસમાં અરજી કરવા છતાં આરોપીઓએ કોર્ટમાં દાવો દાખલ કરી જમીનને વિવાદિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ પોલીસે આ મિલકત હડપવાના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને સ્માર્ટ સિટી રાજકોટ મહાપાલિકાના શાસનની ધૂરા આગામી સમયમાં કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 18 વોર્ડની 72 બેઠક માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક રોચક ચિત્ર સામે આવે છે. છેલ્લા પાંચ દાયકામાં રાજકોટની પ્રજાએ કેસરિયા પક્ષ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 8 ચૂંટણીમાંથી 7 વાર ભાજપે ભવ્ય વિજય મેળવી 46 વર્ષ શાસન કર્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક ટર્મ (5 વર્ષ) સત્તા ભોગવી શકી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. 1981થી 1987: એક બેઠકની પાતળી બહુમતી અને નૈતિકતાનો જંગબીજી ચૂંટણી 1981માં યોજાઈ હતી. દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિને કારણે આ શાસનની મુદત લંબાઈ હતી. આ જંગ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો, જેમાં 51 બેઠકમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠક મળી હતી. માત્ર એક બેઠકની બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન સંભાળ્યું હતું. આ ગાળામાં અરવિંદભાઈ મણિયાર અને વજુભાઈ વાળાએ મેયર તરીકે જવાબદારી નિભાવી હતી. પક્ષપલટાની રાજનીતિ વચ્ચે સ્વ.ચીમનકાકા ત્રિકોણબાગે કરેલા ઉપવાસે નૈતિકતાના ધોરણો સ્થાપ્યા હતા. 1995: 60માંથી 59 બેઠક સાથે ભાજપનો અશ્વમેધ રથરાજકોટના ઇતિહાસમાં 1995નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. 20 વોર્ડની 60 બેઠકમાંથી ભાજપને 59 બેઠક મળી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી. લાધાભાઈ બોરસદિયા કોંગ્રેસના એકમાત્ર વિજેતા હતા. રસપ્રદ વાત એ છે કે, લોકશાહીના મૂલ્યો જાળવવા ભાજપે આ એકમાત્ર વિપક્ષી સભ્યને નેતાનું પદ અને તમામ સુવિધાઓ આપી હતી. આ જ ટર્મમાં રાજકોટને ભાવનાબેન જોષીપુરાના રૂપમાં પ્રથમ મહિલા મેયર મળ્યા હતા. વિજયભાઈ રૂપાણી અને ઉદયભાઈ કાનગડ જેવા નેતાઓ પણ આ જ સમયગાળામાં મેયર પદે રહ્યા હતા. 2000ની સાલ: કોંગ્રેસને લાગી સત્તાની લોટરીસતત 25 વર્ષના શાસન બાદ વર્ષ 2000માં ‘એન્ટિ-ઇન્કમ્બન્સી’ અને બોર કૌભાંડના આક્ષેપોને કારણે જનતાએ પરિવર્તન કર્યું. સ્વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે 23 વોર્ડની 69 બેઠકમાંથી 44 બેઠક જીતી ઇતિહાસ રચ્યો. અઢી વર્ષની ટર્મના પ્રથમ મેયર અશોક ડાંગર બન્યા હતા. જોકે કોંગ્રેસનું આ 5 વર્ષનું શાસન આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલું રહ્યું હતું, જેનો લાભ આગામી ચૂંટણીમાં ભાજપને મળ્યો 2005થી 2021: કેસરિયા પક્ષનું પુનરાગમન અને વર્ચસ્વકોંગ્રેસના શાસનથી નારાજ જનતાએ 2005માં ફરી ભાજપને 59 બેઠક સાથે સત્તા સોંપી. અહીંથી જ ભાજપમાં અઢી-અઢી વર્ષની મેયરની પરંપરા શરૂ થઈ. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી 34 બેઠક મેળવી હતી, છતાં ભાજપ 38 બેઠક સાથે સત્તા ટકાવવામાં સફળ રહ્યું હતું. છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ફરી 68 બેઠક પર કબજો જમાવી કોંગ્રેસને માત્ર 4 બેઠક પર સીમિત કરી દીધી હતી. આ પરાજય એટલો આકરો હતો કે કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. વિસ્તાર વધ્યો, પણ રાજકીય ગઢ અકબંધછેલ્લા 51 વર્ષમાં રાજકોટનું કદ અનેકગણું વધ્યું છે. 1997માં રૈયા, મવા અને મવડી ભળ્યા બાદ 2015માં કોઠારિયા-વાવડી અને 2020માં માધાપર-મુંજકા જેવા 5 ગામનો સમાવેશ થયો. રાજકોટ હવે વિશાળ મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. સૌથી વધુ સમય મેયર પદ ભોગવવાનો રેકોર્ડ આજે પણ અરવિંદભાઈ મણિયારના નામે છે, જ્યારે વજુભાઈ વાળા બીજા સ્થાને છે. રાજકોટ મનપા ચૂંટણી ઇતિહાસ: એક નજરે આગામી જંગ : ત્રણ પક્ષ વચ્ચે મુકાબલો26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના 46 વર્ષ જૂના ગઢને સુરક્ષિત રાખવા મેદાને છે. બીજી તરફ, કોંગ્રેસ વર્ષોનો વનવાસ ખતમ કરવા મથી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે મતોમાં ગાબડું પાડવા તૈયાર છે. 1973થી શરૂઆત : જનતા મોરચાએ વિકાસનો પાયો નાખ્યોરાજકોટ મનપા 19-11-1973ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ અહીં નગરપાલિકા શાસન હતું. કોર્પોરેશન બન્યા બાદ સરકારે વહીવટદાર મૂક્યા હતા, પરંતુ લોકશાહી ઢબે પ્રથમ જંગ 1975માં ખેલાયો હતો. આ પ્રથમ ચૂંટણીમાં ભાજપના પૂર્વજ ગણાતા ‘જનતા મોરચા’ એ મેદાન માર્યું હતું. 18 વોર્ડની 51 બેઠકમાંથી જનતા મોરચાને 32 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસ 19 બેઠક પર અટકી ગઈ હતી. પ્રથમ મેયર તરીકે અરવિંદભાઈ મણિયાર ચૂંટાયા હતા, જેમણે 5 વર્ષની ટર્મ દરમિયાન આધુનિક રાજકોટનો પાયો નાખ્યો હતો.
આજના યુગમાં જ્યારે નજીવી બાબતોમાં લગ્નજીવનના કાંગરા ખરી પડે છે, ત્યારે અમદાવાદની ઘટના સમાજ માટે દીવાદાંડી સમાન છે. આ વાર્તા છે પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સાસરિયાં નહીં પણ ‘માવતર’ બનીને ઊભેલા એક પરિવારની. વાતની શરૂઆત થાય છે અમદાવાદના હિતેશભાઈ અને રીટાબેન દોશીની વહાલી દીકરી દૃષ્ટિ અને ભુવનભાઈ તથા નીતુબેન શાહના સુપુત્ર ચિંતનના સંબંધથી. બંને પરિવારોમાં સગાઈની તૈયારીઓ વચ્ચે જ દૃષ્ટિને બ્રેઇન ટ્યૂમર હોવાનું નિદાન થયું. પરિવાર આવા સમયે પીછેહઠ કરવાનું વિચારે, પરંતુ અહીં ચિંતન અને તેના પરિવારે જે કર્યું તે ‘રેરેસ્ટ ઓફ રેર’ છે. ચિંતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘મારો પ્રેમ આત્મીય છે, શારીરિક બીમારી તેને નબળો પાડી શકે નહીં.’ પુત્રના આ નિર્ણયમાં સાથ આપતા સાસુ નીતુબેન અને સસરા ભુવનભાઈએ દોશી પરિવારને કહ્યું, ‘તમારી દીકરી હવે અમારી દીકરી છે, સાથે મળીને લડાઈ લડીશું.’ પ્રેમ અને હૂંફની શક્તિ મળી, કેન્સર સામેની લડાઈ જીતીઆજે દૃષ્ટિ બીજા ઓપરેશન બાદ સ્વસ્થ થઈ રહી છે. તે તેની સાસુ નીતુબેન સાથે ધ્યાન, યોગનિદ્રા અને મંડલા આર્ટ દ્વારા આનંદમય જીવન જીવી રહી છે. તેને જોઈને કોઈ કહી ન શકે કે તે આટલી મોટી બીમારી સામે લડી રહી છે. શાહ પરિવારની હૂંફ અને તેના ભાઈ નિશાંતની મક્કમતાએ સાબિત કરી દીધું કે, જ્યારે લાગણીઓ મજબૂત હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ ચમત્કાર કરે છે. બીજીવાર કેન્સરે ઊથલો માર્યો, લોકોની કડવી વાણી સાંભળી પણ સાસુનો વિશ્વાસ ન ડગમગ્યોદૃષ્ટિ સાજી થઈ, લગ્ન થયા, પણ પ્રથમ એનિવર્સરી પહેલા જ કેન્સરે ફરી ઊથલો માર્યો. આ સમયે સમાજના કેટલાક લોકોએ નીતુબેનને સલાહ આપી કે,‘તમારા દીકરાની જિંદગી બગડી રહી છે, હજુ વિચારી લો.’ ત્યારે નીતુબેને જે જવાબ આપ્યો તે પ્રેરણા લેવા જેવી બાબત છે. તેમણે કહ્યું, ‘મારા દીકરાનું જીવન બગડવાનું તો ઠીક, પણ અત્યારે મારી દીકરી દૃષ્ટિનું જીવન સુધારવું અગત્યનું છે. નહીંતર મારો ઈશ્વર મને માફ નહીં કરે.’
ભાસ્કર એક્સક્લુસિવ:રાજકોટમાં 25816 શ્વાન, બચકું ભરે તો મનપા ફરિયાદ લેશે, પાછળ દોડે તો નહીં
રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. સરકારની કડક સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી એજન્સી મારફતે શહેરના તમામ વોર્ડમાં સરવે કરાવ્યો હતો, જેમાં શહેરમાં કુલ 25,816 રખડતા શ્વાન હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો છે. જોકે આ ભયજનક આંકડા વચ્ચે મનપાના તંત્રએ વિચિત્ર અને આઘાતજનક વલણ અપનાવ્યું છે. હવેથી શહેરમાં જો કોઈ શ્વાન જોરજોરથી ભસીને લોકોની ઊંઘ હરામ કરતું હોય અથવા વાહનચાલકો પાછળ દોડીને અકસ્માત સર્જતું હોય, તો તેની ફરિયાદ મનપા દ્વારા લેવામાં આવશે નહીં. તંત્રએ મૌખિક રીતે એવું નક્કી કર્યું છે કે, જો શ્વાન કોઈ નાગરિકને બચકું ભરે (ડોગ બાઈટ) તો જ તેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનના ત્રાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દરેક મનપા અને નગરપાલિકાએ શ્વાનનો સચોટ સરવે કરી નાગરિકોને રક્ષણ આપવાની જવાબદારી નિભાવવી પડશે. આ આદેશના પગલે રાજકોટ મનપાએ શહેરની 7 સરકારી હોસ્પિટલ સહિત કુલ 39 હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને મનપા સંચાલિત તમામ શાળાઓને પરિપત્ર પાઠવ્યો છે. આ સંસ્થાઓના ગ્રાઉન્ડ કે પરિસરમાં શ્વાન ઘૂસી ન જાય તે માટે તાત્કાલિક ફેન્સિંગ અથવા બાઉન્ડ્રી વોલ બનાવવા આદેશ અપાયો છે. આ ઉપરાંત દરેક એકમમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરી સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રના આદેશ બાદ શરૂઆતમાં શ્વાન પીડિતોની ફરિયાદો લેવાનું શરૂ કરાયું હતું, જેમાં રાત્રિના સમયે ભસતા શ્વાન અંગેની અરજીઓનો ધોધ વછૂટ્યો હતો. જોકે ફરિયાદોની સંખ્યા વધતા તંત્રએ નિયમોમાં છૂટછાટ લીધી છે. હવે જો કોઈને શ્વાન કરડ્યું હોય અને તે વ્યક્તિ હોસ્પિટલના સારવારના કેસ પેપર સાથે ફરિયાદ કરે, તો જ તે વિસ્તારમાંથી શ્વાનને જપ્ત કરવામાં આવે છે. આવા શ્વાનને 15 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ ફરી એ જ વિસ્તારમાં છોડી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.બીજી તરફ, મનપાના પ્રાણી રંજાડ વિભાગના અધિકારીઓ અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ સામાન્ય નાગરિકો શ્વાનના આતંકથી મુક્તિ માગે છે, તો બીજી તરફ જીવદયાપ્રેમીઓ શ્વાન પર થતા અત્યાચારો અને તેને પકડવાની કામગીરી સામે તંત્ર પર ભારે દબાણ કરી રહ્યા છે. શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓને મનપાનો આદેશમનપાએ અર્બન હેલ્થ સેન્ટરો, ગવર્નમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે જેમના મોટા પરિસર છે, તેમને કડક સૂચના આપી છે કે રખડતા શ્વાન પ્રિમાઇસીસમાં ઘૂસી ન જાય તેની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરી મોનિટરિંગ વધારવા જણાવાયું છે. રાજકોટમાં શ્વાન સરવે અને ફરિયાદના નવા નિયમો લોકો રાત્રે પર્સનલ નંબર પર ફોન કરી હેરાન કરે છે: તંત્રસુપ્રીમ કોર્ટના આદેશ બાદ શ્વાનના ત્રાસ અંગેની ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો છે. મનપાના પ્રાણી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, લોકો સિવિક સેન્ટરમાં ફરિયાદ કરવાને બદલે ગમે ત્યાંથી અમારા પર્સનલ મોબાઈલ નંબર મેળવી લે છે. રાત્રે જ્યારે અમે સુતા હોઈએ ત્યારે પણ ‘અમારા ઘર પાસે શ્વાન ભસે છે’ તેવી ફરિયાદો કરવા ફોન આવે છે.
મતદાનના દિવસે થશે અગનવર્ષા:રાજકોટમાં 26મીએ તાપમાન 43 ડિગ્રી થવાની શક્યતા
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કુદરત પણ આ ગરમીમાં વધારો કરવા તૈયાર છે. આગામી 26મી એપ્રિલે જ્યારે કોર્પોરેશન, પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે, ત્યારે જ રાજકોટમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મતદાનના દિવસે તાપમાન 42 ડિગ્રીને પાર કરીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી રહ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 22 એપ્રિલ સુધી તાપમાન 39થી 41 ડિગ્રીની રેન્જમાં સામાન્ય રહેશે. પરંતુ, 23મી એપ્રિલથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગરમીનો પારો 40.5થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. અત્યારના સ્તર કરતા તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41Cને પાર પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગરમીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતા 1.5 ડિગ્રી વધીને 40.9 ડિગ્રી (રાઉન્ડ ફિગર 41C) નોંધાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ ડેટા અનુસાર, આગામી 7 દિવસ રાજકોટવાસીઓ માટે આકરા સાબિત થશે કારણ કે પારો સતત 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હીટવેવથી બચવા સવારે 10 વાગ્યા સુધીમાં જ મતદાન કરી લેવું હિતાવહ1. લોકશાહીનો ઉત્સવ : મતદાન એ લોકશાહીનો ઉત્સવ છે, પરંતુ 43 ડિગ્રી ગરમીમાં તમારી તબિયત ન બગડે તે માટે આટલું ખાસ ધ્યાન રાખવું. 2. વહેલી સવારે મતદાન : બપોરની કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે સવારે 7થી 10 વાગ્યાના સમયમાં જ મતદાન કરી લેવું હિતાવહ છે. 3. હાઇડ્રેટેડ રહો : ઘરની બહાર નીકળતા પહેલા પૂરતું પાણી પીવો. સાથે પાણીની બોટલ, લીંબુ શરબત કે છાશ રાખી શકાય જેથી ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય. 4. પહેરવેશ : સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરો. માથું ઢાંકવા માટે રૂમાલ, ટોપી કે છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો. 5. સિનિયર સિટીઝન : વડીલો અને બાળકોને બપોરના સમયે લાઈનમાં ઊભા રહેવાનું ટાળવું જોઈએ, શક્ય હોય તો તેમને વહેલી સવારે જ મતદાન મથકે લઈ જવા. વરસાદની આગાહી19થી 21 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવનાગરમીની વચ્ચે 21 એપ્રિલ સુધી દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થનારા માવઠાંની અસર હેઠળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન આકાશમાં વાદળો દેખાશે, પરંતુ મતદાનના દિવસો નજીક આવતા જ આકાશ સ્વચ્છ થશે અને પશ્ચિમી પવન ફૂંકાશે. 26 એપ્રિલ સુધીમાં પવનની ગતિ પણ વધીને 25થી 30 કિમી સુધી પહોંચી શકે છે. એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પ્રભાવના કારણે 21 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જો કે, હજુ એકથી દોઢ મહિનો આકરી ગરમી રહેશે.
મોટી ઠગાઈની ઘટના:પલસાણામાં પ્લોટનો સોદો કરી 4.56 કરોડની ઠગાઈ, 16 લોકો સામે ફરિયાદ
વેસુ રહેતા સંજય ઓમપ્રકાશ ભાઉવાલાએ જમીન ખરીદ-વેચાણના નામે મોટી ઠગાઈનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ રૂંગટા ડેવલપર્સ સાથે વહીવટી કામકાજ કરે છે. વર્ષ 2021માં દલાલ ઈલ્યાસ મારફતે પલસાણાના ઇટાળવા ગામની જમીન ખરીદવા સોદો થયો હતો. આ દરમિયાન જમીન માલિક યાહ્યા પટેલ અને તેમના પરિવાર સાથે બે જમીનોનો સોદો થયો હતો. બ્લોક 157ની જમીન 3.71 કરોડમાં અને 209ની જમીન 3.30 કરોડમાં નક્કી કરી 4.56 કરોડ ચુકવ્યા હતા. બ્લોક 209ની જમીનનો દસ્તાવેજ 13 જાન્યુઆરી 2023ના રોજ કરાયો હતો, પરંતુ બ્લોક 157નો દસ્તાવેજ કરાયો નહોતો. કોઈ સોદો જ થયો નથી કહીને ફરી ગયાઆરોપીઓ એવું કહીને ફરી ગયા કે આ જમીન માટે કોઈ સોદો જ થયો નથી. તેમણે 14 ઓક્ટોબર 2025ના રોજ આ જમીન કોઈને વેચી દીધી હતી. આ મામલે મહેમૂદ ઇબ્રાહિમ પટેલ, યાહયા પટેલ, ઉમર પટેલ, સુલેમાન પટેલ, ઈલ્યાસ અબ્દુલ કાકા સહિત કુલ 16 જણા સામે ગુનો નોંધાયો છે.
ધોરણ-12ના પરિણામ પૂર્વે કારકિર્દીના સપના જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ લાલબત્તી ધરી છે. દેશમાં 32 બોગસ યુનિવર્સિટીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમને ડિગ્રી આપવાની કોઈ કાયદેસર સત્તા નથી. UGCની તાકીદ મુજબ, આ સંસ્થાઓમાં પ્રવેશ લેનારની મહેનત અને લાખોની ફી એળે જશે. યુજીસી અધિનિયમ 1956 હેઠળ માત્ર સરકાર માન્ય સંસ્થાઓ જ ડિગ્રી આપી શકે છે. દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી અને વોકેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓથી દૂર રહેવા જણાવાયું છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ માહિતીના અભાવે આવી નકલી જાળમાં ફસાય છે. આથી, એડમિશન લેતા પહેલા કોલેજની સત્તાવાર માન્યતા તપાસવી અત્યંત અનિવાર્ય છે. વાલીઓ એડમિશન સમયે આ 6 મુદ્દા તપાસો
શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને મ્યુચ્યુઅલ ફંડના જોખમો વચ્ચે સુરતનો મધ્યમ વર્ગ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા માટે ફરી એકવાર પોતીકી બેંકો એટલે કે સહકારી બેંકો તરફ વળ્યા છે. છેલ્લાં 4 નાણાંકીય વર્ષના આંકડા સાબિત કરે છે કે સુરતીઓ ખર્ચવામાં ભલે બાદશાહ હોય, પણ બચત કરવામાં તો શાહ જ છે. વર્ષ 2022-23 થી 2025-26 ના ગાળામાં સુરતની ટોપ-10 સહકારી બેંકોમાં ડિપોઝિટનો આંકડો 16298.64 કરોડથી વધીને 22625.26 કરોડ પર પહોંચી ગયો છે. એટલે કે, સુરતીઓએ આ 4 વર્ષમાં 6326.62 કરોડ રૂપિયાની માતબર રકમ બચાવીને ફિક્સ્ડ ડિપોઝિટ સ્વરૂપે જમા કરાવી છે. કેમ સુરતીઓ શેરબજારને બદલે સહકારી બેંકોમાં વધુ ભરોસો મૂકે છે? સુરતની ટોપ-10 બેંકોનો 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ (આંકડા કરોડ રૂપિયામાં) આ માત્ર આંકડા નથી પરંતુ સુરતની આર્થિક મજબૂતીની સાબિતી આપે છે‘જ્યારે કોઈ શહેરની સહકારી બેંકોમાં ડિપોઝિટ વધે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તે શહેરની ખરીદશક્તિ અને આર્થિક લડાયકતા વધી છે. સુરતીઓએ 6327 કરોડની વધારાની બચત કરીને સાબિત કર્યું છે કે ભલે ગમે તેવી વૈશ્વિક મંદીની વાતો ચાલતી હોય, સુરતનો પાયો હજુ પણ મજબૂત છે. સુરત હવે માત્ર મોજ-મસ્તીનું શહેર નથી રહ્યું, પણ સ્માર્ટ રોકાણકારોનું શહેર બની રહ્યું છે. બેંકિંગ ડિપોઝિટ ઉજ્જવળ આર્થિક ભવિષ્યનો સંકેત છે. - કાનજી ભાલાળા (ઉપ પ્રમુખ, સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેંક એસોસિએશન)
પાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગે તાજેતરમાં કરેલી સામૂહિક બદલીઓ વિવાદનું કેન્દ્ર બની છે. 10 માર્ચે 338 SSIની બદલી થઈ હતી. જો કે, આશ્ચર્યજનક રીતે દસ-પંદર દિવસમાં જ અનેક કર્મચારીઓને ફરી જૂની જગ્યાએ જ મૂકી દેવાયા છે. માર્કેટ વિભાગમાં લાંબા સમયથી જામી પડેલા હર્ષદ ખરોડે, મો. ઈરફાજ કાપડિયા સહિતના કર્મચારીઓને બદલી બાદ ફરી એ જ વિભાગમાં મૂકાતાં વિવાદ સર્જાયો છે. કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને પાઠવાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, વહીવટી તંત્રમાં ‘વહાલા-દવલા’ની નીતિએ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો (SSI) ની બદલીના ઓર્ડર થયાના ગણતરીના દિવસોમાં જ તેમને ફરી અનુકૂળ સ્થળે મૂકી દેવા પાછળ ગેરરીતિની ગંધ આવી રહી છે. તેમણે સવાલ કર્યો હતો કે, શું આ કર્મચારીઓ સિવાય અન્ય કોઈ આ કામગીરી કરવા માટે સક્ષમ જ નથી? વિજિલન્સ તપાસ સાથે બદલીના હુકમો રદ કરવા માંગ કર્મચારી યુનિયને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જે તે ખાતાના વડાઓ પોતાના ‘ખાસ’ માણસોને સાચવવા માટે ખોટા રિપોર્ટ કરી તેમને પાછા બોલાવી લે છે. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની પૂરેપૂરી શક્યતા છે. યુનિયને માંગ કરી છે કે, ટૂંકા ગાળામાં કરવામાં આવેલા તમામ બદલીના હુકમો રદ કરી કર્મચારીઓને મૂળ બદલીના સ્થળે પરત મોકલવા, લાગવગ લગાડનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા,સમગ્ર મામલે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરાવવી. સ્મીમેરમાં 17 વર્ષ જૂના મહિલા SSIને કતારગામ મૂકાયા હતામહિલા કર્મચારીઓને અન્યાય અને લાગવગશાહી આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, સ્મીમેર હોસ્પિટલમાં 17 વર્ષથી ફરજ બજાવતા મહિલા SSIની કતારગામ બદલી કરાઈ હતી, પરંતુ ‘જાદુઈ’ રીતે ગણતરીના દિવસોમાં જ તેઓને ફરી મસ્કતી હોસ્પિટલમાં નોકરી પર ગોઠવી દેવાયા છે. બીજી તરફ, અનેક મહિલા કર્મચારીઓ પોતાના ઘરથી 15-20 કિમી દૂર વર્ષોથી ફરજ બજાવે છે અને વારંવારની અરજીઓ છતાં તેમની ઘર નજીક બદલી કરવામાં આવતી નથી.
સેરોટન ટાવર સામે કૈલાસ એવન્યુની ઘટના:મોટા વરાછામાં માટી નીચે દટાઈ જતાં સાઈટ સુપરવાઈઝરનું મોત
મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડતાં દબાઈ ગયેલા આધેડ સાઈટ સુપરવાઈઝરનું મોત નીપજ્યું હતું. સાઈડ પર છ ફૂટ ઊંડો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મૂળ ભાવનગરના વતની અને મોટા વરાછા શ્યામ શિખર રેસિડેન્સી ખાતે રહેતા 48 વર્ષીય વિજયકુમાર શિવલાલ ધાનાણી કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે સાંજે તેઓ મોટા વરાછા સેરોટન ટાવરની સામે નવી બની રહેલી કૈલાસ એવન્યુની સાઈટ પર કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓ સાઈડ પર 6 ફૂટનો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન અચાનક માટી ધસી પડતાં તેઓ માટીની ભેખડ સાથે ખાડામાં ધસી ગયા હતા અને ભેખડ નીચે દબાઈ ગયા હતા. સ્થળ પર હાજર કર્મચારીઓએ તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. બનાવઆ સંદર્ભે પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવાગામ-ડિંડોલીના ઘરેલુ વીજજોડાણની ઘટના:ટીમે વીજચોરી પકડી પાડી તો ગ્રાહક મીટર લઈ ભાગી ગયો
ડિંડોલીમાં વીજ ચોરીની તપાસ દરમિયાન ટીમે જપ્ત કરેલું મીટર આરોપી ઘટનાસ્થળેથી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે DGVCLના નાયબ ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 18 એપ્રિલે વીજચોરી પકડવા 5 ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ ટીમો સવારે બિલિયાનગર-2, નવાગામ ડિંડોલી સ્થિત એક મકાન પર પહોંચી તપાસ કરી હતી. તે દરમિયાન ગ્રાહક નંબર 17921194311ના નામે લાગેલા મીટરમાં છેડછાડ કરી ગેરકાયદે વીજળીનો વપરાશ થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ટીમે ઘટનાસ્થળે હાજર દેવાભાઈ બચુભાઈ ભરવાડને વીજચોરી અંગે સમજાવી નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી મીટર અને વાયર હટાવીને જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ચેકિંગ શીટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. ટીમનો આક્ષેપ છે કે આ તકનો લાભ લઈને દેવાભાઈ ભરવાડે ટીમનું ધ્યાન ભટકાવીને જપ્ત કરેલું મીટર ઘટના સ્થળેથી ચોરી લીધું અને ફરાર થઈ ગયો. ટીમે તાત્કાલિક આસપાસ તપાસ કરી હતી, પરંતુ મીટર મળ્યું નહોતું. ત્યારબાદ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. સાંજે 7 વાગ્યે મેચનો ટૉસ થશે. આ મેચમાં ગુજરાત પાસે સતત ચોથી જીતની તક હશે, જ્યારે મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઈચ્છશે. ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. આ મેચમાં શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક પણ છે. તે 251 રન બનાવી ચૂક્યો છે અને હૈદરાબાદના હેનરિક ક્લાસેનથી 32 રન પાછળ છે. બીજી તરફ, પ્રસિદ્ધ ક્રિષ્ના પર્પલ કેપથી 2 વિકેટ દૂર છે. તેના નામે 11 વિકેટ છે. GT માટે ગિલ ટૉપ સ્કોરર, પ્રસિદ્ધ સફળ બોલર ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 251 રન બનાવ્યા છે. તો જોસ બટલર 220 રન સાથે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 11 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં બીજું સ્થાન મેળવ્યું છે અને તે ગુજરાતનો સૌથી સફળ બોલર છે. MI માટે રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો ટૉપ રન સ્કોરર છે. તેણે 4 મેચમાં 137 રન બનાવ્યા છે. ટીમ તરફથી રાયન રિકેલ્ટને પણ 137 રન બનાવ્યા છે. રાયને રોહિત કરતા એક મેચ વધુ રમી છે. શાર્દૂલ ઠાકુર 6 વિકેટ સાથે ટીમનો ટોપ વિકેટ ટેકર છે. અહીં સીઝનની ત્રીજી મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે, જ્યાં બેટર અને બોલર બંનેને મદદ મળે છે. મેચની શરૂઆતમાં પીચ પર સારો બાઉન્સ અને થોડી મદદ ફાસ્ટ બોલરોને મળે છે, જેના કારણે પાવરપ્લેમાં વિકેટ પડવાની તકો રહે છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ પીચ થોડી ધીમી થઈ જાય છે અને સ્પિન બોલરો અસર દેખાડવાનું શરૂ કરે છે. આ મેદાનની બાઉન્ડરી મોટી હોવાને કારણે બેટર્સ માટે સતત મોટા શોટ મારવા સરળ નથી હોતા, તેથી સ્ટ્રાઈક રોટેશન ઘણું મહત્વનું રહે છે. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ છે. એકમાં ગુજરાતને જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં અત્યાર સુધી કુલ 46 IPL મેચ રમાઈ છે. 23 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમને જીત મળી, એટલી જ મેચમાં ચેઝ કરનાર ટીમને જીત મળી છે. અમદાવાદમાં વરસાદની શક્યતા નથી 20 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહ્યું છે. દિવસનું મહત્તમ તાપમાન આશરે 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહ્યું. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ આ મુકાબલામાં રોહિત શર્માના રમવા પર શંકા છે. તે 12 એપ્રિલે વાનખેડેમાં બેંગલુરુ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતની ઈજા પર કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે ઓછામાં ઓછી બે મેચ આરામ કરશે. અમે તેની પરત ફરવામાં ઉતાવળ કરવા નથી માગતા. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 ગુજરાત ટાઈટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ.
મ્યુનિ. ચૂંટણીમાં 48 વોર્ડની 192 બેઠક પર ચૂંટણી લડવા માટે 652 ઉમેદવાર મેદાનમાં આવ્યા છે. સભા, સરઘસ, રેલી, વાહન પરમિટ અને મ્યુનિ. પ્લોટમાં સભા યોજવા માટે પરમિશન લેવાની જરૂર પડતી હોય છે. 15 દિવસમાં આ તમામ પ્રકારની ગતિવિધિઓમાં ભાગ લેવા માટે કુલ 649 ઉમેદવારે અરજી કરી હતી અને 499ની અરજી મંજૂર કરાઈ હતી. મહત્ત્વનું છે કે શહેરમાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે અને મંજૂરી લઈને 499 સભા, સરઘસ, રેલીનું આયોજન હજુ સુધી થયું છે. 15 દિવસના ચૂંટણી પ્રચારમાં પોલીસ પાસેથી સભા, સરઘસ માટે 105 અરજી મંજૂર, રેલી માટે 89 અરજી મંજૂર, આરટીઓ પાસેથી વાહન પરમિટ માટે 174 અરજી મંજૂર અને મ્યુનિ.ના પ્લોટને ભાડે રાખીને સભા યોજવા માટે 131 અરજીઓને મંજૂરી અપાઈ હતી જ્યારે 160 અરજી પડતર છે. ચૂંટણી પ્રચાર માટે હવે માંડ 4 જ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં ખૂબ જ ઓછી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે પ્રમાણે રેલી, સભા, સરઘસની મંજૂરી લેવા માટેની સંખ્યા ઓછી હોવાને કારણે મંજૂરી વગરની રેલીઓનું આયોજન થઇ રહ્યું હોય તેવી શંકા સેવાઇ રહી છે. જોકે રેલી, સભા, સરઘસને મંજૂરી મળી છે કે નહીં તેને ચેક કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ચેકિંગ સહિતની કામગીરી પણ ખૂબ જ ઢીલી જોવા મળી રહી છે. તંત્રની ચેકિંગ ટીમ દ્વારા મંજૂરી વગરના રેલી, સભા, સરઘસ કે વાહન પરમિટ લીધા વગરના એક પણ વાહન પકડવામાં આવ્યાં નથી. ઉમેદવારે મંજૂરી લીધી છે કે નહીં તે જોવા માટે તંત્ર દ્વારા ખાસ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામા આવતી નથી. 652 ઉમેદવારે 89 રેલીની મંજૂરી લીધી અસુવિધાને કારણે સોસાયટીમાં બૂથ બનાવવા મુદ્દે રહીશો નીરસશહેરમાં મતદાનની સંખ્યા વધે તે માટે ચૂંટણી પંચ 800થી વધુ મતદાર હોય તે સોસાયટીમાં જ બૂથ બનાવવાની સુવિધા પૂરી પાડતું હોય છે. જે અંતર્ગત લોકસભા 2024ની ચૂંટણીમાં ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા વિધાનસભાની 29 સોસાયટી, એપાર્ટમેન્ટમાં મતદાન થઈ શકે તે માટે બૂથ બનાવાયાં હતાં. આથી ત્યાં ગત ચૂંટણી કરતાં 2024 લોકસભાની ચૂંટણીમાં 23 ટકા સુધી મતદાન વધ્યું હતું. જોકે લોકસભા ચૂંટણીના અનુભવે જાણવા મળ્યું હતું કે બૂથ બનાવવા માટે સોસાયટીમાં ક્લબ હાઉસ કે સ્ટોર રૂમનો ઉપયોગ કરાતો હોય છે. ત્યાં બૂથ બન્યું હોવાથી મહિના સુધી પોલીસ, ચૂંટણી કર્મચારીઓની અવરજવરને કારણે અસુવિધા થતાં સોસાયટી, એપાર્ટમેન્ટ બૂથ માટે ઓછો રસ ધરાવે છે. 21ની મ્યુનિ. ચૂંટણીમાં 42.51% મતદાન થયું હતું, જે બહુ ઓછું હતું. આથી વધુ સોસાયટી-એપાર્ટમેન્ટ આ વ્યવસ્થા ઊભી કરે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.
વેપારીઓ મૂકાયા મુશ્કેલીમાં:GSTમાં વેરાના નાણાં એડજસ્ટ કરવાની સુવિધા રાતોરાત બંધ
જીએસટી વિભાગે ટેક્સ એડજસ્ટમેન્ટને લઈને આશ્ચર્યજનક નિર્ણય લેતા આંતરરાજ્ય વેપાર કરતા ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે. જાન્યુઆરી 2026માં પોર્ટલ પર સ્ટેટ જીએસટીની આઈટીસીમાંથી ઇન્ટિગ્રેટેડ જીએસટી ભરવાની જે ‘ક્રોસ યુટિલાઈઝેશન’ સુવિધા શરૂ કરાઈ હતી, તે રાતોરાત બંધ કરાઈ છે. સ્થાનિક બજારમાંથી ખરીદી કરી અન્ય રાજ્યોમાં માલ વેચતા વેપારીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ હતી, કારણ કે તેનાથી ટેક્સ ભરવા માટે વધારાની રોકડની જરૂર પડતી નહોતી. હવે આ ઓપ્શન હટાવી લેવાતા વેપારીઓની એસજીએસટી ક્રેડિટ પોર્ટલ પર જમા પડી રહેશે અને આઈજીએસટી ભરવા ખિસ્સામાંથી રોકડ કાઢવી પડશે, જેનાથી વર્કિંગ કેપિટલ બ્લોક થઈ જશે.વિભાગના અધિકારીઓના મતે, જીએસટી રૂલ 46 મુજબ એસજીએસટીની ક્રેડિટ સીધી રીતે આઈજીએસટી માટે વાપરી શકાતી નથી. આ કાયદાકીય અડચણને ધ્યાને રાખી સરકારે પોતાની ભૂલ સુધારવા કોઈપણ જાણકારી કે પરિપત્ર વગર આ સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. વિભાગે પોતાની ભૂલ સુધારવા વિકલ્પ હટાવ્યોજીએસટીના કાયદા મુજબ સ્ટેટ જીએસટીની ક્રેડિટ સીધી આઈજીએસટી પેમેન્ટ માટે વાપરવી તે નિયમ વિરુદ્ધની પ્રક્રિયા છે. જાન્યુઆરીમાં આ સુવિધા શરૂ કરવામાં ટેકનિકલ કે કાયદાકીય ચૂક થઈ હોવાનું ધ્યાને આવતા, વિભાગે પોતાની ભૂલ સુધારવા પોર્ટલ પરથી આ વિકલ્પ હટાવી લીધો છે.
નર્સે ફાઈલ ડાઉનલોડ કરતાં ફોન હેક થયો:સિવિલની નર્સને ઈ-ચલણ મોકલી ગઠિયાઓએ 7 લાખ ખંખેરી લીધા
સિવિલ હોસ્પિટલની એક નર્સને સાઈબર ગઠિયાઓએ આરટીઓ ઈ ચલણ નામની એપીકે ફાઈલ મોકલી સેલેરી ખાતામાંથી રૂ.7 લાખ ખંખેરી લીધા હતા. પેન્ડીંગ કે નવો ઈ મેમો આવ્યો હોવાનું માની નર્સે એપીકે ફાઈલ ડાઉનલોડ કરી હતી, ફાઈલ ડાઉનલોડ થતાં જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. નવા નરોડા સુરભી શિલાલેખ સોસાયટીમાં રહેતાં મંજુલા ચૌહાણ(55) અસારવા સિવિલમાં નર્સની ફરજ બજાવે છે. 28 ઓકટોબર 2025એ હોસ્પિટલમાં મંજુલાબેન મોબાઈલમાં બેંક બેલેન્સ ચેક કરતા હતાં. ત્યારે બેલેન્સ ઓછું જણાતા તેમણે ફોનમાં તપાસ કરી તો તેમના ખાતામાંથી 5 ટ્રાન્ઝેકશનથી રૂ.7 લાખ ઉપડી ગયાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. પછી બેંકની એપ્લિકેશન ઓપન કરતાં તે ઓપન થઈ નહોતી. જેથી દીકરાને લઈ તેઓ બેંકમાં ગયાં ત્યારે જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂ.7 લાખ ઉપડ્યા હતા. બેંક દ્વારા તેમને જાણ કરતા તેમણે વોટ્સએપ જોતાં તેમના ફોનમાં આરટીઓ અપડેટ યોર ઈ ચલણ નામની એપીકે ફાઈલ આવી હતી, જે ડાઉનલોડ કરતાં ગઠિયાઓએ પૈસા ઉપાડી લીધા હતા. આ અંગે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. APK ફાઈલ ડાઉનલોડ કરતાં ગઠિયા ફોન હેક કરી લે છેએપીકે એટલે એન્ડ્રોઈડમાં એપ ઈન્સ્ટોલ કરવા માટેની ફાઈલ. સાયબર ગઠિયા ઈ-ચલણ જેવા નામે આવી ફાઈલ મોકલી તમારો ફોન હેક કરી શકે છે. તે ડાઉનલોડ કરતા જ ફોનનો કંટ્રોલ ગુનેગારો પાસે જાય છે, જેઓ બેઠા-બેઠા તમારા મેસેજ, ઓટીપી અને બેંક વિગતો મેળવી નાણાંની ઉઠાંતરી કરી શકે છે. અજાણી લિંકથી સાવધ રહો.
રીલ્સનો અતિરેક:માતાપિતાએ ફોન લઈ લેતાં 14 વર્ષની સગીરાએ ઘરમાં તોડફોડ કરી કહ્યું- મરી જઈશ
પોશ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને રીલ્સનું એવું વળગણ લાગ્યું કે, માતાપિતા સાથે ઝઘડો કરવા લાગી. માતાપિતાએ ઓનલાઈન અભ્યાસ માટે મોંઘો ફોન અપાવ્યો હતો, પણ સગીરા ભણવાના બહાને આખો દિવસ રીલ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. આ બાબતે માતાપિતાએ ઠપકો આપ્યો તો ઘરમાં તોડફોડ કરી અને આત્મહત્યાની ચીમકી આપી. આથી ડરી ગયેલાં માતાપિતાએ દીકરીને સમજાવવા 181ની મદદ માગી. અભયમની ટીમ ઘરે પહોંચી તો સગીરા કોઈની વાત માનવા તૈયાર નહોતી. અભયમના કાઉન્સેલરોએ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સમજાવ્યું કે, સોશિયલ મીડિયાની આભાસી દુનિયા વાસ્તવિક જીવન અને કારકિર્દીને નુકસાન કરે છે. લાંબા કાઉન્સેલિંગ બાદ સગીરાને પોતાની ભૂલ સમજાતાં તેણે માતાપિતાની માફી માગી અને હવે કામ પૂરતો જ ફોનનો ઉપયોગ કરવાની બાંહેધરી આપી હતી. લોકપ્રિય બનવા માટે અત્યાર સુધીમાં 58 રીલ બનાવીશરૂઆતમાં સગીરાએ સોશિયલ મીડિયામાં પોતાની એક રીલ પોસ્ટ કરતા અજાણ્યા લોકોએ લાઈક્સ અને કોમેન્ટ્સ કરતા પોતે જાણીતી થશે અને ડિજિટલ દુનિયામાં લોકપ્રિયતા વધશે તેમ વિચારી તેણે અભ્યાસ છોડી રીલ્સ શૂટ કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં સગીરએ 58 રીલ્સ બનાવી પોસ્ટ કરી હતી. લાઈક્સ અને કોમેન્ટ્સ ‘ડોપામાઈન’નું કામ કરે છેમનોચિકિત્સકોના મતે, જ્યારે કિશોર વયનાં બાળકોની રીલ્સ પર લાઇક્સ કે કોમેન્ટ્સ આવે છે ત્યારે તેમના મગજમાં ‘ડોપામાઇન’ નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે તેમને આનંદની અનુભૂતિ કરાવે છે. આ આનંદ મેળવવા તેઓ વારંવાર રીલ્સ બનાવે છે. જ્યારે આ પ્રક્રિયા અટકાવાય ત્યારે વ્યક્તિ ‘વિથડ્રોઅલ સિમ્પટમ્સ’ અનુભવે છે, જેથી તે હિંસક બને, તોડફોડ કરે કે આપઘાતની ધમકી આપવા જેવાં પગલાં ભરે છે.
ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. બે સેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી?, કયા વર્ષથી સુશાસન દિવસની ઉજવણી થાય છે?, ભારતમાં પ્રવર્તમાન બંધારણીય સંસ્થાઓની જાણકારીને લગતા પ્રશ્ન ઉપરાંત આપણા સરંક્ષણમાં વપરાતાં સ્વદેશી હેલિકોપ્ટર એલસીએચ પ્રચંડ અંગેની જાણકારીને લગતા પ્રશ્નો પુછાયા હતા. સાથે જ રાજ્યના 2026ના વર્ષ માટેના અંદાજપત્ર અને સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંગેનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ ભરતી બોર્ડ પર મુકાઈગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની આ પરીક્ષા આપનારા ઉમેદવારોની સ્કેન થયેલી ઓએમઆર શીટ પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ ઓએમઆર શીટ ભરતી બોર્ડની https;//gprb.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે વિશ્લેષણાત્મક વાંચન કરનારા સારો સ્કોર કરી શકશે‘પ્રશ્નોના સ્વરૂપને કારણે ઘણા ઉમેદવારોને આ પેપર થોડું લાંબું લાગ્યું હોવાની શક્યતા છે. આ પ્રશ્નપત્રના કન્ટેન્ટ અને પ્રશ્નોના સ્તર અંગે વિશ્લેષણમાં અમુક ચોક્કસ વિષયોના પ્રશ્નોએ ઉમેદવારોનું ખાસ ધ્યાન અને ચીવટ માંગી લીધી હતી. બંધારણના વિષયમાં મહિલાઓ માટે માસિક ધર્મના અધિકારોને લગતા પ્રશ્નો, દેશના સંરક્ષણને લગતા પ્રશ્નો અને ખાસ કરીને ગુજરાતના Particularly Vulnerable Tribal Groups-PVTG અંગે પૂછાયેલા પ્રશ્નો ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યા હતા.’ > હર્ષ પટેલ,સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત,વ્યાખ્યાતા સ્પીપા
નોકરી ન્યુઝ:BPCL 250 એક્ઝિક્યુટિવની ભરતી કરશે, રૂ.17 લાખ સુધીનું પેકેજ અપાશે
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ, એસોસિએટ એક્ઝિક્યુટિવ, સેક્રેટરી સહિતની 250 જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી દીધી છે. નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 35 વર્ષ સુધીની મહત્તમ નિર્ધારિત વયમર્યાદા ધરાવનારા ઉમેદવારો 17 મે સુધીમાં વેબસાઈટ https://www.bharatpetroleum.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે અંતર્ગત જુનિયર એક્ઝિક્યુટિવ અને સેક્રેટરીની પોસ્ટ માટે લઘુત્તમ વાર્ષિક પગારધોરણ 12.28 નિર્ધારિત કરાયું છે જ્યારે એસોસિએટ એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે વાર્ષિક 17.11 લાખનો પગાર નક્કી કરાયો છે. અરજીના આધારે શૈક્ષણિક ગુણવત્તા અને અનુભવના આધારે પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. આ પરીક્ષા પાસ કરનારાઓને ગ્રુપ ટાસ્ક ચર્ચામાં ભાગ લેવાનો રહેશે. તે પછીથી વ્યક્તિગત ઈન્ટરવ્યુ અને મેડીકલ ટેસ્ટ બાદ મેરીટના આધારે આખરી પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઉમેદવારોએ તમામ ડોકયુમેન્ટસ સાથે હાજર રહેવુ અનિવાર્ય છે. જેમાં કોઈ પણ ક્ષતિ જણાય તો અરજી રદ થઈ શકે છે. સિલેકશન પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય તે માટે દરેક તબક્કાનુ મૂલ્યાંકન નિર્ધારિત ચુસ્ત માપદંડો અનુસાર કરાશે. આ પોસ્ટ ભરાશે : ઉમેદવારમાં આ યોગ્યતા હોવી આવશ્યક છે
મંડે પોઝિટીવ:જટિલ ઇજનેરી અને કોડિંગનું ટેન્શન હળવું કરવા VGECના વિદ્યાર્થીઓએ ભજન ક્લબિંગ શરૂ કર્યું
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સ્ક્રીન એડિક્શનથી ઘેરાયેલી ‘જેન ઝી’ માટે વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કૉલેજ (VGEC)એ ‘ભજન ક્લબિંગ’ની પહેલ કરી છે. ઇજનેરીના જટિલ અભ્યાસ અને કોડિંગના ટેન્શન વચ્ચે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તણાવમુક્તિ માટે આ ‘સ્ટ્રેસ બસ્ટર’ સાબિત થઈ રહ્યું છે. અનોખા પ્રયોગમાં પરંપરાગત ભજનોને આધુનિક સંગીતનાં વાદ્યો સાથે રજૂ કરાતાં અત્યાર સુધીમાં 600થી વધુ છાત્રો આ ‘હ્યુમન કનેક્ટ’ અભિગમમાં ઉત્સાહભેર જોડાયા છે. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. વિનય પુરાણીના જણાવ્યા મુજબ, આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રગતિની સાથે માનસિક મજબૂતી, સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ ક્લબ વિદ્યાર્થી સંચાલિત છે. મ્યુઝિક ક્લબની સ્થાપના અંતર્ગત ભજન ક્લબિંગની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બે કાર્યક્રમ થયા છે. કાર્યક્રમના સંયોજક ડૉ. ઇન્દ્રજીત ત્રિવેદીએ જણાવ્યું કે ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ નિહાર, અનુષ્કા, રુદ્ર, આકાશ, શિવાંશ, રાગિણી, દિયા, આરતી, મલ્હાર, અંકિતા, પ્રેમ, જસવીર, પ્રાપ્તિ, શશીકલા, દર્શિન, પરિતા, મહર્ષિ, દર્શિન, ધ્રુવિલ, રેહાન, શિવમ, પ્રિયાંશુ, સોનલ, સૃષ્ટિ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ક્લબ માત્ર સંગીત માટે નથી, પરંતુ તે અનુભૂતિ છે, જ્યાં અમે સંસ્કૃતિ સાથે જોડાઈને આનંદ અને શાંતિ અનુભવીએ છીએ. ભજન એ વ્યસનમુક્તિ અને એકાગ્રતાની જડીબુટ્ટીવિખ્યાત ભજનિક સ્વ. જીતુ ભગતના પુત્ર અને ગઝલગાયક અતુલ બ્રહ્મભટ્ટ જણાવે છે કે ‘મેં પિતા સાથે હજારો કાર્યક્રમોમાં હાર્મોનિયમ વગાડી ભજનનું જ્ઞાન મેળવ્યું છે. ભજન માત્ર ગાયન નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે. વિદ્યાર્થી અવસ્થામાં જો બાળક 2-3 કલાક ભજનમાં વ્યસ્ત રહે તો તે આધિ-વ્યાધિ અને ઉપાધિથી દૂર રહી શકે છે. ભજનથી મળતી માનસિક શાંતિ અને આધ્યાત્મિક આનંદ નકારાત્મક વિચારો તેમજ વ્યસનોથી દૂર રાખે છે. આ પ્રવૃત્તિથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને માનવીય મૂલ્યોનું મહત્વ સમજાય છે. આજે પણ અમે પિતાજીએ લખેલા 1000થી વધુ ભજનોનું મણિનગર નિવાસસ્થાને દર શનિવારે નિયમિત ગાન કરીએ છીએ. વાજિંત્રોના તરંગો મગજના આલ્ફાવેવ્સ ઉત્તેજિત કરે છેસામૂહિક ભજનના લયબદ્ધ સૂર મગજમાં ‘આલ્ફા વેવ્સ’ ઉત્તેજિત કરે છે, જે ચિંતા અને નિરાશા ઘટાડી મનને રિલેક્સ કરે છે. આ પ્રવૃત્તિથી સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને એકાગ્રતા વધે છે. ભજન દરમિયાન સોશિયલ મીડિયાથી દૂરી વિદ્યાર્થીઓના ભાવનાત્મક સંતુલન (EQ) માટે ‘મેન્ટલ હેલ્થ વેક્સિન’ જેવું કામ કરે છે અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત બનાવે છે. શબ્દો પોઝિટિવ ભાવ ઉભો કરે છે અને શરણાગતિનો ભાવ ઊભો કરે છે તેનાથી ચિન્તા અને નિરાશા ઘટે છે. > ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયરકન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... હવે, ચૂંટણી બાદ જ IAS-IPSની બદલી થશેગુજરાતના વહીવટીતંત્રમાં લાંબા સમયથી ચર્ચાતી IAS અને IPS અધિકારીઓની બદલીઓ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મે માસમાં આવશે તે લગભગ સ્પષ્ટ બન્યું છે, જોકે આ ફેરફારો મેની શરૂઆતમાં આવશે કે મધ્યભાગમાં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ચર્ચાઓ મુજબ ચારથી પાંચ કલેક્ટર સહિત જિલ્લા લેવલના અધિકારીઓમાં ફેરફારો થવાના છે અને સચિવાલયમાં સિનિયર પોસ્ટ ખાલી હોવાના કારણે મોટાપાયે બદલીનો દોર જોવા મળી શકે છે. IPS કેડરમાં પણ આવી જ પરિસ્થિતિ છે, જ્યાં ગત માસમાં બદલીઓ થવાની હતી પરંતુ ચૂંટણીના એલાનને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ગેજેટ પ્રક્રિયા અને બોર્ડ મિટિંગમાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને કેટલાક સૂત્રો 1થી 10 મે વચ્ચે બદલીઓની શક્યતા દર્શાવે છે તો કેટલાક 15 મે આસપાસ આદેશો આવશે તેવો અંદાજ લગાવી રહ્યા છે, એટલે આખું વહીવટી તંત્ર હાલ ‘ક્યારે હુકમ છૂટશે?’ તેની રાહ જોતા સસ્પેન્સમાં છે. શિક્ષણ પછી હવે ‘વન’ પર નજર! વિનોદ રાવના નવા પ્લાનથી ગાંધીનગરમાં ગતિ વધીરાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષણ સમીક્ષા કેન્દ્રની સફળતા બાદ હવે વન વિભાગમાં પણ સમાન પ્રકારનું ‘વન સમીક્ષા કેન્દ્ર’ સ્થાપવાનો વિચાર ઝડપ પકડી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં વન વિભાગના સચિવ વિનોદ રાવના પ્રેઝન્ટેશન બાદ આ પ્રોજેક્ટને લઈને અંદરખાને ચહલપહલ વધી છે. તાજેતરમાં યોજાયેલી સેક્રેટરીઓની મિટિંગમાં વિનોદ રાવે વન વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનેક નવી પહેલો રજૂ કરી હતી, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો વન સમીક્ષા કેન્દ્રનો હતો. શિક્ષણ વિભાગમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ સમીક્ષા કેન્દ્ર ઉભું કરીને સમગ્ર રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીથી પ્રશંસા મળી હતી. હવે વન વિભાગમાં પણ તેવી જ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે જંગલોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિય નજર રાખી શકાય, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત બાકી છે પરંતુ ગાંધીનગરમાં આ નવા પ્લાનને લઈને ચર્ચાઓ તેજ બની છે. IAS નોમિનેશનમાં 3-4 મહિનાનો વિલંબ! 17 અધિકારીઓ હજુ વેઇટિંગમાંગુજરાતમાં IAS કેડરની ખાલી જગ્યાઓ ભરવા માટે દર વર્ષે થતી નોમિનેશન પ્રક્રિયામાં આ વખતે સ્પષ્ટ વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે 17 અધિકારીઓને મળનાર પ્રમોશન હવે મે-જૂન સુધી લંબાઈ શકે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અધિકારીઓના નોમિનેશનની ફાઈલ એક મહિના પહેલા જ ક્લિયર થઈ ગઈ હતી અને સચિવ અંજુ શર્માએ ઝડપી કામગીરી પણ શરૂ કરી હતી, છતાં ડિપાર્ટમેન્ટની અંદર વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે ફાઈલ UPSC સુધી પહોંચવામાં મોડું થયું છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ નોમિનેશન આવી ગયું હતું, જ્યારે આ વખતે પ્રક્રિયા મોડી શરૂ થવા ઉપરાંત ફાઈલ આગળ વધારવામાં પણ સમય લાગતા હવે UPSCમાં ક્વેરી ક્લિયર થયા બાદ જ અંતિમ મંજૂરી મળશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં ઓછામાં ઓછા એકથી બે મહિના લાગી શકે છે, જેના કારણે અધિકારીઓને વધુ રાહ જોવી પડશે, જોકે અંદાજે મે-જૂન દરમિયાન નોમિનેશન આવી જશે તેવી આશા રાખવામાં આવી રહી છે અને ‘દેર આયે દુરસ્ત આયે’ જેવી સ્થિતિ બનવાની શક્યતા છે. મહિલા અધિકારીને ચાર વર્ષે,જ્યારે નવા આવેલા અધિકારને તો એક વર્ષમાં જ ઈગો આવી ગયોથોડો સમય પહેલા IAS અધિકારીઓની બદલી થઈ હતી. જેમાં એક મહિલા અધિકારીની બદલીએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. કેમકે, આ મેડમ બધાને બહાર બેસાડી રાખતા હતા અને જલ્દીથી કોઈને મળતા નહોતા. ચારેક વર્ષ સુધી કામ કર્યા પછી તેમનામાં આ પરિવર્તન આવ્યુ હતુ. જેને કારણે એકાએક જ તેમનો સારી જગ્યાએથી ભોગ લેવાયો હતો. તેમની જગ્યાએ અન્ય એક IAS અધિકારીને મુકાયા હતા. થોડો સમય સુધી સૌ કોઈને લાગ્યુ કે, સાહેબ ખુબ જ સરળ અને સારા છે. જો કે, હવે લોકોનો એ ભ્રમ તૂટવા લાગ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આગાઉના મેડમને તો ચાર વર્ષ પછી એટીટ્યુડ દેખાડવાનુ શરુ કર્યુ હતુ પણ આ સાહેબે તો એક વર્ષમાં એટીટ્યુડ દેખાડવા માંડ્યો છે. 2027ની ચૂંટણી પછી આ અધિકારીને પણ મહિલા અધિકારીની જેમ સાઈડલાઈનમાં કરી દેવાશે કે શું એવા પ્રશ્નો લોકો એકબીજાને પૂછી રહ્યા છે. બોલો, ફૂડ એન્ડ ડ્ર્ગસ કન્ટ્રોલ વિભાગને સાત મહિના પછી પણ કમિશનર મળતા નથી!ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર પદેથી સપ્ટેમ્બર 2025માં નિવૃત્ત કરાયેલા એચ.જી. કોશિયાના સ્થાને રાજ્ય સરકારે 2009ની બેચના આઇએએસ અને આરોગ્ય કમિશનર (ગ્રામીણ) ડો. રતનકંવર એચ. ગઢવી ચારણને એડિશનલ ચાર્જ સોંપ્યો છે છતાં વેબસાઇટ ઉપર હેડ ઓફિસના સ્ટાફમાં કમિશનર પદે પહેલું નામ ડો. એચ. જી. કોશિયાનું જોવા મળી રહ્યું છે. આ વિભાગમાં છ વખત એક્સટેન્શન મેળવનાર આ નિવૃત્ત અધિકારીએ સાતમા એક્સટેન્શન માટે ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ સરકારે તેમને વિદાય આપી દીધી હતી. રાજ્યમાં ફુડ અને ડ્રગ્સમાં ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓનું બજાર ગરમ હોવાથી આ જગ્યા ઉપર ફુલટાઇમ અધિકારી મૂકવા આવશ્યક છે તેમ છતાં સરકારે છેલ્લા સાત મહિનાથી આ પોસ્ટ એડિશનલ ચાર્જમાં રાખી છે. અહીંની ઓફFસના સ્ટાફવાળા મજાક કરી રહ્યા છે કે,નવા કમિશનર કયારે આવશે તે રામ જાણે. IAS વિનોદ રાવની નજર સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ ઉપરગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી વિનોદ રાવ પાસે નવો ટાસ્ક આવ્યો છે. તાજેતરમાં વન વિભાગની ચિંતન શિબિરમાં આ વિભાગને રાજ્યની 48 ઇકો ટુરિઝમ સાઇટ્સની આવકમાં વધારો કરવાનો ગોલ અપાયો હતો. છેલ્લા બે વર્ષમાં આ સાઇટ્સની આવક 45 કરોડની હતી તેને વધારીને 150 કરોડ કરવાનુ કહેવાયુ છે. જેના દક્ષિણ ભારતના રાજ્યોનું અનુકરણ કરવાનું નક્કી કરાયુ છે. આ રાજ્યો પૈકી કેરલમની 300 સાઇટ્સની આવક 3600 કરોડ, તામિલનાડુની 80 સાઇટ્સની આવક 1200 કરોડ અને કર્ણાટકની 35 સાઇટ્સની આવક 280 કરોડ થાય છે. સરકારે નવી ઇકો ટુરિઝમ પોલિસી પણ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યમાં ઇકો ટુરિઝમના વિકાસની શક્યતા ધરાવતા ઝોન પણ અલગ કરાઈ રહ્યા છે. ગુજરાતના ટેક્સ કમિશનરેટમાં એડિશનલ ચાર્જ દૂર કરાશે કે કેમ?ગુજરાતનું ટેક્સ કમિશનરેટ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે, આ જગ્યાએ કામ કરતા ઉચ્ચ અધિકારીઓ એડિશનલ ચાર્જમાં ચાલી રહ્યાં છે. રાજ્યમાં જીએસટી ચોરી, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિતના ગોટાળા ચાલી રહ્યાં છે છતાં આ કમિશનરેટમાં ફુલટાઇમ અધિકારી મૂકાયા નથી. ટેક્સ વિભાગના ચીફ કમિશનર આરતી કંવર દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હોવાથી નાણા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ટી. નટરાજનને ખાલી પડેલી આ જગ્યાનો એડિશનલ ચાર્જ સોંપ્યો છે, જ્યારે સ્પેશ્યલ કમિશનર તરીકે પી. ભારતીને એડિશનલ ચાર્જ અપાયો છે. તેમનું ફુલટાઇમ પોસ્ટીંગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરીનું છે. ટેક્સ વિભાગમાં અન્ય એક એડિશનલ કમિશનર પણ એડિશનલ ચાર્જમાં છે. હવે સ્થાનિક ચૂંટણી પછી આ વિભાગમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યાં છે. 'નેતાઓને સમજાયું, મત વિકાસના નામે નહીં પ્રાથમિક સુવિધાના કામોના કારણે મળશે'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ વિકાસના કામોને લઈને લોકો પાસે મત માંગવા માટે જઈ રહ્યા છે. પરંતુ પ્રજા ભાજપના ઉમેદવારોને પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામો નથી થયા કહીને જાહેરમાં તેમનો ઉધડો લઈ રહ્યા છે. ભાજપના નેતાઓનો ઠેર- ઠેર વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ ભાજપે પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામોની જગ્યાએ બાગ બગીચા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સને મોટી સુવિધાઓ બનાવવા પાછળ વધારે ધ્યાન આપતા પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 'પાંચ વર્ષ સુધી નાગરિકો તમને પાણી ,ગટર અને રોડની ફરિયાદ કરે છે તો એના પાછળ ધ્યાન આપતા નથી. પરંતુ મોટી વાતો વિકાસની કરી અને મત માંગવા આવ્યા છો તો મત નહીં મળે' એમ કહી મૂકે છે. ભાજપના નેતાઓને હવે ખબર પડી ગઈ છે કે મત વિકાસના નામે નહીં પરંતુ પ્રાથમિક સુવિધાના કામોના માટે જ મળશે એટલે હવે કેટલાક નેતાઓ પણ આગામી પાંચ વર્ષમાં તમારા કામો પૂરા કરી દઈશું એવી ખાતરી આપી ત્યાંથી નીકળી જાય છે. ભાજપના કોર્પોરેટરોએ હવે મતદારની ફરિયાદ સાંભળવા ફોન ઉપાડવો પડશે!મહાનગરપાલિકામાં કોર્પોરેટર બની ગયા પછી કેટલાક કોર્પોરેટરો ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા હોય છે ત્યારે ભાજપના ભવિષ્યના બનનારા કોર્પોરેટરોને ચેતવણી આપી અને કહ્યું હતું કે તમારા ફોન નહીં ઉપાડવા અંગેની ફરિયાદ સીધી હવે શહેર પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીને જ નાગરિકો કરી શકશે. જો કોઈપણ કોર્પોરેટર ફોન ના ઉપાડે તો હવે શહેર પ્રમુખ કે મને ફોન કરજો એવી સીધી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહી દીધી હતી. જો કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવે તો બધાના ફોન ઉપાડજો દિવસ હોય કે રાત હોય દરેકના કામ કરજો. રાત્રે બે વાગ્યે પણ ફોન કરે તો તેમના ફોન નો જવાબ આપજો અને ફોન નહીં ઉપાડો તો સીધી ફરિયાદ શહેર પ્રમુખ અને તેમના સુધી આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપનો વિરોધ થતા IBની કામગીરી સામે સવાલ ઉઠ્યાગુજરાતમાં ચૂંટણી સમયે સ્ટેટ IBની નજર રહેતી હોય છે. સુરત સહિતના શહેરોમાં ભાજપ વિરોધી પોસ્ટર અને પ્રચાર કરતા જતા નેતાઓને વિરોધ થતા સ્ટેટ IBની કામગીરનને લઈ પણ સવાલ ઉઠ્યા છે.સોશિયલ મીડિયા ઉપર પણ જોરશોરથી ભાજપ વિરોધી બેનરો અંગે વીડિયો વાયરલ થતા હોવા છતાં પણ પહેલેથી આ બાબતે ધ્યાન ન આવતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરી શકી નથી. AMCનું ફૂડ વિભાગ કમિશનરની સૂચનાને પણ ઘોળીને પી ગયુંઅમદાવાદમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી અવારનવાર કોઈ ચીજ વસ્તુ નીકળવી અથવા તો અખાદ્ય ચીજ વસ્તુ હોવા અંગેની ફરિયાદો મળતી હોવાને લઈને મ્યુનિસિપલ કમિશનરે ફૂડ વિભાગમાં કામગીરી સામે ખૂબ જ આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નિમ્ન સ્તરની તમે કામગીરી કરો છો. ક્યાંય પણ ત્વરિત પગલા અને અવેરનેસ જેવું દેખાતું જ નથી. ફૂડ વિભાગના અધિકારીને બહેરામપુરા વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે સ્ટ્રીટ ફૂડ એકમો સામે કાર્યવાહી કરવાની કડક સુચના હોવા છતાં પણ હજી સુધી આવી કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં ફૂડ વિભાગ નિષ્ફળ ગયું હોવાના કારણે અમદાવાદઓના આરોગ્ય સાથે વેપારીઓ ચેડા કરી રહ્યા છે.
સ્માર્ટ સિટી સુરતના વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વિસ્તારમાં આવેલી પાટી ચાલ ઝૂંપડપટ્ટીના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પીવાનું પાણી, ડ્રેનેજ તેમજ પાયાની સુવિધા ના હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. કહ્યું, નેતાઓ માત્ર ચૂંટણી સમયે મતો માંગવા આવે છે નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. સુરત મહાનગર પાલિકામાં આવતા વોર્ડ નં. 14માં ઉમરવાડા, માતાવાડી વિસ્તારમાં દિવ્ય ભાસ્કર ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં આશરે 5000થી 6000 જેટલા લોકો વસવાટ કરે છે, પરંતુ અહીં ગટર, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા એટલી ગંભીર છે કે ગમે ત્યારે ઉભરાય જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર એ કોઈ ધ્યાન આપ્યું ના હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં. લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડાથી સ્થાનિકો ત્રસ્તઝૂંપડપટ્ટી વિસ્તારમાં શૌચાલયની વ્યવસ્થા અત્યંત ખરાબ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં માત્ર એક જ 'પે એન્ડ યુઝ' શૌચાલય છે, જેની હાલત જર્જરિત છે. વધુમાં વિસ્તારની બાજુમાં લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો હોવાથી શાળાએ જતી દીકરીઓ અને મહિલાઓની છેડતીના બનાવો પણ બને છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથીહાલ આ વિસ્તારની વાત કરીએ તો રોડ, રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વોર્ડ નં. 14ના કોર્પોરેટરો માત્ર પાંચ વર્ષે એક જ વાર વોટ માંગવા આવે છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી. વર્ષોથી આ વિસ્તારની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. 'કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે'સ્થાનિક આસિફ ખલીફાએ જણાવ્યું હતું કે, અહીંયા એક તો રોડ-રસ્તા, બીજા નંબરમાં ગટર, કચરો ને પાણી અને લાઈટની સમસ્યા છે. બીજું કે અમારા કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે 'અમને વોટ આપજો, અમને વોટ આપજો'. વોટ લઈને ચાલ્યા જાય, પછી પાંચ વર્ષ સુધી કોઈ જોતું નથી, ઝૂંપડપટ્ટી છે એટલે. સારી સોસાયટીઓમાં તો એ લોકો એક કચરો રહેવા દેતા નથી, રોજ સફાઈ થાય છે. અહીંયા બે-બે, ત્રણ-ત્રણ મહિને સફાઈ થાય છે. 'ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી'તેને વધુમાં કહ્યું કે, બીજા નંબરમાં કે આગળ તમે જોયું જ છે કે ગરનાળું છે. હવે આ જુવાન પોરિયા, જુવાન છોકરીઓ કે બૈરાઓ જાય ક્યાં ટોઈલેટ કરવા? બીજા નંબરમાં કે અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એ પેલો કોન્ટ્રાક્ટર સરકારનું કહીને ચાલ્યો ગયો. તો આ આવી આવી સુવિધાઓ છે, આટલો વિકાસ થાય છે. બાજુમાં એસ.ટી. ડેપો બને છે નવો, પછી મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. આ બધી ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી. 'પૂર્વ મેયર અસ્મિતાબેનનો વિસ્તાર આ જ પરિસ્થિતિમા'ખલીફાએ વધુમાં કહ્યું કે, સુરતના મેયર એમ કીધું હતું કે સફાઈમાં પહેલો નંબર સુરતનો આવ્યો. એ મને નથી લાગતું કે પહેલો નંબર આવ્યો, આ તો ઝીરો લાગે છે. અને અમારા આજથી ઘણા વર્ષ પહેલા અહીં જે મેયર અસ્મિતાબેન શિરોયા હતા, એ આ વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યા છે, પણ ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. કોઈ ઝૂંપડપટ્ટીવાળાનું સાંભળવા તૈયાર નથી. 'સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે'તેને વધુમાં જણાવ્યું કે, સ્થિતિમાં તો તમે જોશો તો નરકની જેમ નરકમાં છે એમ સમજો. તમે અત્યારે પાણીના ટાઈમે આવશો તો પાણી આખું ભરાયેલું હશે. લોકો કેમ જીવે છે હું એ વિચારું છું કે લોકો કેમ રહે છે અહીંયા? કોઈ રહી જ ન શકે. સરકારે અહીંયા જોવું પડે, ઝૂંપડપટ્ટીને જોવું પડે અને એનો થોડો વિકાસ કરવો પડે. તમે ખાલી સોસાયટીઓમાં અને મોટી મોટી ખાલી વાતો ફૂંક્યા કરો કે ભાઈ સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે. 'ગેસ્ટ હાઉસ ચાલે છે, ત્યાં લલનાઓનો મોટો ત્રાસ છે'સ્થાનિક આસિફ ખલીફાએ કહ્યું કે, લલનાઓ રોડ ઉપર રિક્ષા લઈને ઉભી રહે છે, ગ્રાહકો અહીંયા હોય છે તો બીજા ગમે તેને, બીજી બૈરાઓને એ જ નજરે લોકો જુએ છે, એવી સમસ્યા છે. કોર્પોરેટર આવે એટલે અમારી તો આ જ તૈયારી છે કે અમે અહીંયાથી એને ભગાવશું. 'કાદવ-પાણી ભરાયેલા છે, બહુ પરેશાની થાય છે'અફસરૂન નિસા અબ્દુલ અઝીઝ ખાને કહ્યું હતું કે, મોહલ્લામાં કાદવ-પાણી ભરાયેલા છે, ગરનાળામાંથી અમે આવીએ છીએ, ત્યાં ગોઠણ સુધી પાણી ભરેલું હોય છે, બહુ પરેશાની થાય છે. ગરનાળાની બહાર આ ધંધો ચાલુ છે, જુવાન છોકરીઓ લઈને બધી આવે-જાય છે, આ બધું છેડખાની થાય છે. બહુ મગજમારી છે, હવે શું કરીએ? કઈ રહેવા જેવું અહીં છે નહીં, પણ ગરીબીના કારણે, ધંધા-રોજગારના કારણે માણસ અહીં રહે છે. કોઈ સફાઈવાળા કે કોઈ કોર્પોરેટર આવતા નથી. મોહલ્લામાં આટલી ગંદકી છે, ખાલી વોટ માંગવા આવે છે , એના પછી કોઈ આવતું નથી. અત્યારે આટલી ગંદકી, મચ્છરો છે, પણ કોઈ સફાઈ કે દવા છાંટવા પણ નથી આવતું. 'અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી'મોહમ્મદ ઇનામ ખાને જણાવ્યું હતું કે,અહીંયા નાળાના પાણીનું નિકાલ થતું નથી. શૌચાલય અને બાથરૂમ નથી, તો મહિલાઓ ક્યાં જાય? રાત્રે ક્યાં જવાનું? આ બધી સમસ્યાઓ છે, અહીં ઘણી ગંદકી છે. ગટરનું પાણી રસ્તા પર આવી રહ્યું છે. અરે બહુ ગંદુ પાણી છે. પીવા જેવું પાણી પણ નથી આવતું, અમે એ પાણી પીતા પણ નથી. અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી. અમારે ક્યાંક બહાર કે દૂર જવું પડે છે. કોર્પોરેટર અહીં કોઈ આવતું નથી. ફરિયાદ તો ઘણી કરી પણ કોઈ સાંભળતું નથી. વરસાદમાં તો આખા ઘરમાં પાણી ભરાઈ જાય છે. 'વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં'સ્થાનિક યુવાન માસૂકે જણાવ્યું હતું કે, હું અહીંયા પાટી ચાલમાં રહું છું. અહીં 5-6 હજારની વસ્તી છે, જુઓ અહીંયા કેટલી ગંદકી છે. અહીં કોઈ કોર્પોરેટર આવતા નથી, 5 વર્ષમાં એકવાર આવશે. વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં. ગંદકી સાથે શૌચાલયની પણ બહુ તકલીફ છે, માણસ બાથરૂમમાં જાય તો પણ તકલીફ પડે. અમે બધા યુપી-બિહારના લોકો અહીં રહીએ છીએ, ગંદકી બહુ જ છે અને કોઈ આવતું નથી. કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. 'સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું'મહેબૂબ ખાને જણાવ્યું હતું કે, મુશ્કેલી એ જ છે કે અહીંયા સાફ-સફાઈ થતી નથી. કોઈ કર્મચારી સફાઈ કરવા આવતો નથી. દરેક વસ્તુની પરેશાની છે. પાણીનો નિકાલ નથી, ગટર સાફ નથી થતી, કંઈ જ થતું નથી. રજૂઆત બધા કરીએ છીએ પણ કોઈ આવતું જ નથી, અહીંયા કોઈ દેખાતું જ નથી. અમે લોકો ફરિયાદ પણ કરીએ છીએ તો કોઈ જોવા નથી આવતું. એક શૌચાલય પણ બનાવ્યું છે મેદાનમાં, ત્યાં પણ કોઈ નથી આવતું કે તેનો તાળું તો ખોલી આપે. બસ હા-હા કરે છે અને પછી આવતા જ નથી. વોટ માંગવા પાંચ વર્ષમાં એકવાર આવે છે. પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું જ નથી. હવે એ આવશે તો કહીશું કે પહેલા આ બધું સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું, નહિતર નહીં આપીએ. 'મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ'સાધના અંસારીએ વધુમાં કહ્યું કે, કોર્પોરેટરને તો એ જ કહીશ કે અહીંયા આવે, અમારી સાથે બે દિવસ રહે અને જુએ કે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ. તો તમને પણ ખબર પડી જશે, અમારે કોઈને કહેવાની જરૂર પણ નહીં પડે. મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ છે. કેમકે અહીંયાથી બાથરૂમ ખૂબ દૂર છે અને રાત્રે બંધ પણ થઈ જાય છે. તો અમને રાત્રે અને દિવસે પણ તકલીફો થાય છે. બાથરૂમ ચોખ્ખું નથી હોતું અને બાથરૂમ પણ તૂટેલું છે જે ગમે ત્યારે પડવાનો ડર રહે છે, જેથી અમારો જીવ જવાનો પણ જોખમ છે. 'જીતાડી દઈએ છીએ પછી અમારા માટે કંઈ જ નથી કરતા'સાઈનાઝ અંસારીએ જણાવ્યું કે, એક તો વીજળી આપે છે તેમાં પણ કાપ મૂકે છે, ગરમીમાં ખૂબ જ હેરાનગતિ થાય છે. આ ઝૂંપડપટ્ટી તોડવાનું કહે છે પણ અમને ઘર આપતા નથી. પાણીનું પણ કંઈ ઠેકાણું હોતું નથી, આટલી બધી સમસ્યાઓ છે. રસ્તાઓ એવા છે કે આખું ગટર ભરાઈ જાય છે, કોઈ સાફ કરવા પણ નથી આવતું. કોર્પોરેટર અહીં આવે છે અને હાથ જોડીને કહે છે કે અમને જીતાડો બહેન, અમે આ કરીશું, અમે પેલું કરીશું. અમે જીતાડી પણ દઈએ છીએ તો પણ અમારા માટે કંઈ જ નથી કરતા. 'અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં'તેને વધુમાં કહ્યું કે, અત્યારે આવશે તો પણ એવું જ કહેશે કે અમે તમારા માટે સુવિધા કરી દઈશું, ગટરની સુવિધા કરીશું. અમે તો ભોળા છીએ એટલે તેમની વાતમાં આવી જઈએ છીએ.આ વખતે તો તેના કરતાં તો સારું છે કે અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં, અમે એમ જ બેસી રહીએ. 'કોર્પોરેટરને જોયાને એક જમાનો થઈ ગયો!'અલ્લા રખા અંસારીએ જણાવ્યું કે, તંત્રને તો એમ જ કે અહીં જ પેદા થયા છીએ, આટલા મોટા થઈ ગયા પણ હજુ સુધી કોઈ સુવિધા જ મળી રહી નથી. અહીં ખાલી વોટ લેવા માટે જ આવે છે, પછી આવતા જ નથી. કોર્પોરેટરને એક જમાનો થઈ ગયો જોયાને! જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જોયા હતાં. એના પછી કોઈ આવ્યું જ નથી. આવશે તો એજ બતાવીશું કે આ રસ્તો જુઓ, ઉપર-નીચે બધે જ પબ્લિક આવે-જાય છે અને રસ્તામાં પડી જાય છે. 'જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો કોઈને નહીં આપીએ'પૂજા અલ્લા રખા શેખે કહ્યું કે, જુઓ ગટરો વહે છે, કચરાપેટીઓ આખી ભરેલી રહે છે, કોઈ પણ પ્રકારની સુવિધા નથી. વોટ લઈને ચાલ્યા જાય છે. મહિલાઓ માટે રાશન-પાણીની કે કોઈ પણ વસ્તુની સુવિધા નથી. કોર્પોરેટર આવે છે, વોટ લઈને ચાલ્યા જાય છે. પછી તમે કોણ અને અમે કોણ એવું થઈ જાય છે. બાળકો માટે કોઈ સુવિધા કરો, મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા કરો. અહીં તો માહોલ ઘણો ખરાબ છે. આ ઝૂંપડપટ્ટી તોડીને સારા ઘર આપો અથવા અહીંયા જ સારા મકાન બનાવી આપો જેથી અમારું જીવન પણ સારું બને. જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો પછી કોઈને નહીં આપીએ.
રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ પાસેથી પસાર થાવ તો વાહન જાળવીને ચલાવજો! કારણ કે, ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે. છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતોઃ અધિકારીરાજકોટ RTOના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, રાજકોટ શહેર અને રૂરલ વિસ્તારમાં અલગ-અલગ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવતા હોય છે. સિટી વિસ્તારમાં રોડ બનાવતી એજન્સી, RTO અને પોલીસની જોઈન્ટ કમિટી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા અને રૂરલ વિસ્તારમાં કલેક્ટર દ્વારા બ્લેક સ્પોટનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટરનો એવો રસ્તો કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અને 10થી વધુ મોત થયા હોય. શહેર-ગ્રામ્યના બ્કેલ સ્પોટવધુમાં ઇન્દ્રજીત ટાંકે ઉમેર્યું કે, રાજકોટ શહેરમાં 3 અને રૂરલમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે. જ્યારે રાજકોટ રૂરલમાં શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર કિશન પેટ્રોલ પંપ અને ખોડીયાર હોટેલ, મારુતિ પેટ્રોલ પંપ અને શાપર પૂલ ઉતરતા એમ કુલ 3 બ્લેક સ્પોટનો સમાવેશ થાય છે. સ્પોટ દુર કરવા તંત્ર દ્વારા લેવાતા પગલાંબ્લેક સ્પોટ રિમૂવ માટે બે પ્રકારના પગલા લેવાતા હોય છે, જેમાં શોર્ટ ટર્મ મેઝર અને લોંગ ટર્મ મેઝરનો સમાવેશ થાય છે. શોર્ટ ટર્મ મેઝરમાં રબ્બર સ્ટ્રીપ, લાઇટ અને રોડ શેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બ્લેક સ્પોટ હોય ત્યાં ભયજનક રોડના બોર્ડ લગાવવામાં આવતા હોય છે, જેથી અહીંથી લોકો પસાર થાય ત્યારે તકેદારી રાખે જેથી અકસ્માતો અને મૃત્યુને નિવારી શકાય. રાજ્યમાં 2022થી 2024માં 56 બ્લેક સ્પોટ નોંધાયા, નવાની જાહેરાત બાકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વર્ષ 2022થી 2024 દરમિયાનના 56 બ્લેક સ્પોટ હોવાનું સામે આવ્યું છે. રાજ્યની RTO કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લાની કટેરી પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. આવનારા દિવસોમાં નવા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવનાર છે. રાજકોટ RTOએ શહેરમાં 6 અકસ્માત ઝોન જાહેર કરી, ત્યાં રોડ સેફ્ટી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
તમે અત્યાર સુધી હરિદ્વાર, પ્રયાગરાજ કે ઉજ્જૈનમાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો માટે યોજાતા કુંભમેળા વિશે સાંભળ્યું હશે અને જોયું હશે પણ હવે ગૌવંશના જતન માટે એક અનોખો મહાકુંભ યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદના કઠવાડા, એસ.પી. રિંગ રોડ પર આવેલા હરિભાઇ લાખાભાઇના કૂવા પાસેના વિશાળ મેદાનમાં આજથી 22 એપ્રિલ સુધી કાંકરેજી ગૌ મહાકુંભનું આયોજન થયું છે. માલધારી સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાથે મળીને આ આયોજન કર્યું છે. ગૌ મહાકુંભમાં ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી અત્યાર સુધી ન જોઇ હોય તેવી 200થી વધારે કાંકરેજી ગાયોને લવાશે. જેમાંની 100 ગાયો વચ્ચે જુદી જુદી સ્પર્ધા યોજાશે. આ ગાયોને ઠંડક મળી રહે તે માટે ખાસ પ્રકારનો ડોમ અને સ્પ્રિંકલ ફૂવારા પણ મુકાયા છે.અહીં આવનાર બાળકો નંદી સાથે ખુલ્લા મેદાનમાં રમી શકે તેવું પણ ખાસ આયોજન છે. ગાયમાંથી બનતી 200થી વધુ પ્રોડક્ટ પણ જાતે બનાવી શકાય તેનું પ્રશિક્ષણ લોકોને અપાશે. આ સાથે જ એક ગામડું પણ ઊભું કરાશે. આ વિશાળ ગૌ મહાકુંભમાં તમને શું-શું જોવા મળશે? અહીં સુધી કેવી રીતે પહોંચી શકાશે? પાર્કિંગની વ્યવસ્થા કેવા પ્રકારની હશે? આ તમામ બાબતો અંગે દિવ્ય ભાસ્કરે આયોજકો પાસેથી માહિતી મેળવીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. 116 વીઘા જમીનમાં આયોજનકુલ 116 વીઘા જમીનમાંથી 36 વીઘામાં કાંકરેજી ગૌ મહાકુંભની ઉજવણી થશે. જ્યારે બાકીના 80 વીઘામાં વિશાળ પાર્કિંગ હશે એટલું જ નહીં અહીં ગામડાંની થીમ ઊભી કરવામાં આવી છે જેમાં ગૌ વંશ રાખનારા માલધારી પરિવારની રહેણી કરણી અને જીવનધોરણ કેવું હોય છે તે દર્શાવાશે. 2500થી વધુ કાર માટે પાર્કિંગઅમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા કઠવાડા સર્કલથી જમણી બાજુએ વળતાં જ તમને ગૌ મહાકુંભનું બોર્ડ દેખાશે. જ્યાંથી તમે 100 મીટર આગળ વધશો એટલે ડાબી બાજુ વળતાંની સાથે જ એક વિશાળ ગેટ દેખાશે. આ ગેટથી તમે કાર્યક્રમમાં પ્રવેશ કરી શકશો. અહીં દિવસ દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી અંદાજે 15 હજાર કરતાં વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. જેથી 2500 થી વધારે ગાડીઓ અને 5000 કરતાં વધારે ટુ વ્હીલર પાર્ક થઇ શકે તેવી ક્ષમતાવાળું વિશાળ પાર્કિંગ તૈયાર કરાયું છે. પ્રવેશ માટે 3 ગેટકાંકરેજી ગૌ મહાકુંભમાં પ્રવેશ માટે આમ તો મુખ્ય 3 ગેટ તૈયાર કરાયા છે. જેમાંથી 2 ગેટ સામાન્ય અને મુલાકાતીઓ માટે છે. જ્યારે એક ગેટ મુખ્ય અતિથિઓ અને VVIPઓના પ્રવેશ માટે છે. ગાયો માટે સ્પ્રિંકલ ફૂવારા મૂકાયાજ્યારે તમે આ સ્થળના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચશો એટલે તમારી ડાબી બાજુએ 2 મહાકાય ડોમ દેખાશે. જેમાં પહેલાં ડોમમાં વિવિધ કાર્યક્રમો અને મુખ્ય અતિથિઓનું સન્માન અને સંબોધન થશે. જ્યારે તેનાથી થોડાક જ ડગલાં આગળ ચાલતાં જ એક બીજો વિશાળ ડોમ દેખાશે. જ્યાં અત્યાર સુધી ન જોઇ હોય તેવી એકદમ સારી રીતે ઉછરેલી ગુજરાત અને રાજસ્થાનની 100થી વધુ કાંકરેજી ગાયો જોવા મળશે. અહીં ગાયોને પણ ઠંડક મળી રહે તે માટે ખાસ પ્રકારના સ્પ્રિંકલ ફૂવારાઓની વ્યવસ્થા કરાઇ છે. ગાયો માટે આ પ્રકારનું આયોજન જોઇને તમે પણ અચંબિત થઇ જશો. વિવિધ પ્રકારની 200 વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગઆ 2 વિશાળ ડોમની સામેની તરફ નાના-મોટા થઇને 75 જેટલા અલગ અલગ ડોમ દેખાશે. જેમાં દેશભરની ગૌ શાળામાં બનતા પંચગવ્ય, દેશી ગાયનું ઘી, ગૌ મૂત્રનો અર્ક સહિતની વિવિધ પ્રોડક્ટ જોવા મળશે. એટલું જ નહીં અહીં આવનારા મુલાકાતી પોતાની જાતે જ ગાયના છાણમાંથી ધૂપ બત્તી, ગોબર અને ગૌ મૂત્રમાંથી 200 પ્રકારની વસ્તુઓ બનાવતા શીખી શકશે. વાછરડાં સાથે રમવા માટે પ્લેઇંગ એરિયાઅહીં મોટા ભાગે માલધારી સમાજ અને સામાન્ય લોકો પણ મુલાકાત લેવાના હોવાથી મોટા-મોટા બેનર્સમાં ગૌ સંવર્ધન અને ચિકિત્સાને લગતી જાગૃતિ પણ દર્શાવાશે. આ સાથે જ વિવિધ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ દર્શાવાશે. ખાસ કરીને બાળકો પણ ગાયના વાછરડાં સાથે રમી શકે તે માટે એક વિશાળ જગ્યામાં પ્લેઇંગ એરિયા તૈયાર કરાયો છે. 10 વીઘામાં મેગા કિચનઅહીં દેશભરમાંથી ગૌપાલકો અને માલધારીઓ આવવાના હોવાથી તેમના રહેવા માટેની પણ અહીં વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસ દરમિયાન 50 હજાર કરતાં પણ વધુ લોકો મુલાકાત લેવાના હોવાથી 10થી વધુ વીઘામાં એક વિશાળ મેગા કિચન તૈયાર કરાયું છે. 2 લાખ લીટરથી વધુ છાશનો પણ ઓર્ડર અપાયો છે. અહીં એક યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 3 દિવસ દરમિયાન સુરભી યજ્ઞ કરાશે. જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અગ્નિહોત્રી યજ્ઞનું પણ વિશેષ આયોજન છે. સ્વયંસેવકો ખડેપગે રહેશેઆ સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 થી વધુ અને માલધારી સમાજના 500 થી વધુ સ્વયંસેવકો સતત ખડે પગે રહીને સેવા આપશે. ગાયો માટે 5 કેટેગરીમાં સ્પર્ધાઆ મહાકુંભમાં માત્ર ગાયનું જતન અને સેમિનાર જ નથી થવાનો પણ કાંકરેજી ગાયોની 5 કેટેગરીમાં સ્પર્ધા પણ થવાની છે. આ માટે શરૂઆતના તબક્કે દેશભરમાંથી 400 લોકોએ પોતાની કાંકરેજી ગાયનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 100 ગાયોની ફાઇનલ પસંદગી કરાઇ હતી. સ્પર્ધામાં વિજેતા થનારી ગાયના માલિકને રોકડ અને ચાંદીનું ઇનામ અપાશે. અહીં 3 દિવસ સુધી જે ગાયોને રખાશે તેને સારી ગુણવત્તાવાળો ખોરાક પણ અપાશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે આયોજક અને ગૌ સેવક લાલાભાઇ દેસાઇ અને જયરામભાઇ દેસાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. દોઢ મહિના પહેલાં વિચાર આવ્યો ને કાર્યક્રમ યોજાયોલાલાભાઈ દેસાઈએ કહ્યું, આજથી દોઢ મહિના પહેલાં અમે વિચાર કર્યો હતો કે આપણે ગૌ માતા માટે કંઇક કરીએ કે જેના થકી લોકો સુધી એત સારો સંદેશ પહોંચે. આ દરમિયાન અમારી કમિટિ ભેગી થઇ. જેમાં આ કાર્યક્રમ કરવાનું નક્કી થયું. કાર્યક્રમમાં અમને RSSનો પણ સહયોગ મળ્યો છે. તેમના કાર્યકરો અમારી સાથે જોડાયા છે. અમે કાંકરેજી ગૌ મહાકુંભ યોજી રહ્યાં છીએ જેની પાછળનો ઉદ્દેશ્ય કાંકરેજી ગાયને સારો દરજ્જો મળે તે છે કેમ કે આ ગાય ખૂબ જ વફાદાર છે. બીજું કે આ ગાયનો સ્વભાવ જેટલો તેજ છે એટલી જ તે પ્રેમાળ પણ છે. આ ગાયનું મહત્વ વધે તેવો હેતુ છે. ગાય માટે સ્પેશિયલ ડોમ બનાવ્યોતેમણે આગળ કહ્યું, આ આખાય આયોજનમાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાનની ગાયો આવી છે. ગાયોના સુંદર વાછરડાંઓને પણ લવાયા છે. આ જોનારા લોકોને એવું થશે કે અત્યાર સુધી આવી ગાય અને વાછરડીઓ ક્યાંય જોઇ જ નથી. અહીં અમે ગૌ યજ્ઞ પણ કરવાના છીએ. અહીં સારા સારા સંતો અને મહંતો પણ આવવાના છે. આ 3 દિવસ દરમિયાન પહેલાં 2 દિવસ અમે અહીં આવેલી ગાયોની વિવિધ રીતે ચકાસણી કરીશું. ત્રીજા દિવસે વિજેતા ગાયોની જાહેરાત કરીને તેમના માલિકને ઇનામ પણ અપાશે. અમે અહીં આવનારી ગાયો માટે સ્પેશિયલ ડોમ જ બનાવ્યો છે. જ્યાં પંખા તો હશે જ પણ તેની સાથે સાથે ફોગર પણ મૂક્યાં છે. અહીં આવનારા લોકો માટે પણ ભોજનથી લઇને રહેવા સુધીની સુવિધા ઊભી કરી છે. જયરામભાઇ દેસાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું, અમે કાંકરેજી ગૌ મહાકુંભનું આયોજન 36 વીઘામાં કર્યું છે. જ્યારે બાકીના 80 વીઘામાં પાર્કિંગની સુવિધા ઊભી કરી છે. અહીં 36 વીઘામાં બે મહાકાય ડોમ પણ તૈયાર કર્યા છે. જેમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. 400થી વધુ રજિસ્ટ્રેશન થયા હતા'કાર્યક્રમ નક્કી થયા પછી ગાયોના રજિસ્ટ્રેશન માટે એક નંબર જાહેર કર્યો હતો. જેમ જેમ માલધારીઓને ખબર પડતી ગઇ તેમ તેમ રજિસ્ટ્રેશન વધતું ગયું હતું. ગુજરાત અને રાજસ્થાનમાંથી 400 થી 500 રજિસ્ટ્રેશન થયા હતા.' 'આ મહાકુંભમાં સંઘે પણ ખભેથી ખભો મિલાવીને અમને મદદ કરી છે. અહીં અમે કાંકરેજી ગાયના શણગારની પણ વ્યવસ્થા કરી છે એટલે અહીંથી અમે તેની સજાવટ માટેની પણ વસ્તુઓ આપવાના છીએ.' આ કાર્યક્રમમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું છે. તેઓ કહે છે કે, અમે જમવાની પ્લેટો પણ પ્લાસ્ટિકની જગ્યાએ પતરાળાંમાંથી બનેલી હોય તેવી ઉપયોગમાં લેવાના છીએ. અહીં તમે આવશો એટલે તમને એવું જ લાગશે કે ખરેખર આ ગાયોનો કુંભ મેળો છે. અમદાવાદના આંગણે યોજાઇ રહેલો આ ગૌ મહાકુંભ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગૌવંશના જતન અને સંવર્ધન માટેનો મહાયજ્ઞ છે.
ગુજરાત સરકાર મોટા રોકાણ પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા માટે વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત ‘એક પ્રોજેક્ટ-એક ટીમ’ મોડલ હેઠળ હવે અલગ-અલગ વિભાગોની જગ્યાએ 4-5 વિભાગોનું ક્લસ્ટર એકસાથે કામ કરશે. દરેક પ્રોજેક્ટ માટે એક નોડલ અધિકારી નિયુક્ત થશે, જે સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સંભાળશે. સચિવાલયના વરિષ્ઠ IAS અધિકારીએ જણાવ્યું કે આ મોડલ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. મુખ્ય સચિવ જાતે તેની સમીક્ષા અને મોનિટરિંગ કરી રહ્યા છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે-ગુજરાતમાં હવે કામ ધીમી ગતિએ નહીં, બુલેટની ઝડપે થશે. પછી ભલે તે નિર્ણય લેવાના હોય, મંજૂરી આપવાની હોય કે પ્રોજેક્ટ શરૂ કરવાના હોય. હાલમાં કોઈ મોટા પ્રોજેક્ટને 25થી 60 મંજૂરીઓ લેવી પડતી હતી અને તેમાં 4થી 8 મહિનાનો સમય લાગતો હતો. નવા મોડલનું લક્ષ્ય છે કે આ મંજૂરીઓ ઘટાડીને 15થી 25 કરવામાં આવે અને સમયગાળો 30થી 60 દિવસ સુધી મર્યાદિત કરવામાં આવે. સરકારનું માનવું છે કે આનાથી પ્રોજેક્ટના ખર્ચમાં 3થી 7% સુધીનો ઘટાડો આવશે અને રોકાણની ગતિ 50% સુધી વધશે. નવી સિસ્ટમમાં ફાઇલ મૂવમેન્ટની જગ્યાએ સિંગલ ડિજિટલ ડેશબોર્ડ હશે, જ્યાં દરેક અરજીનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ થશે. વિલંબ થવા પર ઓટો એલર્ટ મળશે અને મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરી સ્તરે દેખરેખ રાખવામાં આવશે. આનાથી પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો પ્રયાસ છે. આ મોડલની ખાસ વાત છે કે પારંપરિક IAS કેન્દ્રિત વ્યવસ્થામાં ફેરફાર કરીને હવે તેમાં ટેક્નોક્રેટ્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને પણ સામેલ કરવામાં આવશે. સેમીકન્ડક્ટર અને AI જેવા ક્ષેત્રોમાં ટેકનીકલ નિર્ણયોની જરૂરિયાતને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા મોડલમાં રોકાણકારો માટે હેન્ડ-હોલ્ડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં એક ઇન્વેસ્ટર રિલેશનશિપ મેનેજર સમગ્ર પ્રોજેક્ટમાં માર્ગદર્શન પૂરું પાડશે. આ મોડલ ખાસ કરીને સેમીકન્ડક્ટર, AI અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા હાઇ-વેલ્યુ સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જો આ સફળ થશે તો ગુજરાત દેશમાં વહીવટી સુધારાનું નવું મોડલ બની શકે છે. પહેલાં શું હતું? હવે શું થશે? સેક્ટર્સને શું ફાયદો? ગુજરાત AI હબ બનવાની દિશામાં એક્સપ્લેનર (નોંધ: આ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને નીતિ સાથે જોડાયેલા સૂત્રો સાથેની વાતચીત પર આધારિત છે. ઔપચારિક જાહેરાત હજુ બાકી છે, પરંતુ નીતિની રૂપરેખા લગભગ તૈયાર માનવામાં આવી રહી છે.)
મ્યુનિ.ની કાર્યવાહી:શાહીબાગમાં વિલિયમ પિત્ઝામાંથી વાળ નીકળતા રૂ.10 હજારનો દંડ
ઓનલાઈન મંગાવેલા ફૂડમાં બેદરકારીના બે ઘટના સામે આવી છે. પિત્ઝામાંથી વાળ નીકળવો તેમજ ફૂગવાળા પાંઉ મોકલતા મ્યુનિ. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી બંને એકમને નોટિસ આપી છે. શાહીબાગમાં વિલિયમ પિત્ઝાને રૂ. 10 હજારનો દંડ કરાયો છે. ફૂગવાળા પાંઉ મોકલનાર ઝેપ્ટોના મેનેજરને મ્યુનિ.એ નોટિસ ફટકારી છે. ડોક્ટરે વાળની ફરિયાદ કરતાં મેનેજમેન્ટે જવાબ ન આપ્યોશાહીબાગમાં ડો. એ.વી.પટેલે ઓનલાઈન મંગાવેલા માર્ગારીટા પિત્ઝાના પ્રથમ બાઈટમાં જ વાળ નીકળ્યો હતો. મેનેજમેન્ટ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા, તેમણે મ્યુનિ.માં ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી સંચાલકોને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. બ્રેડ-પાંઉના પેકેટ ખોલતાં જ દુર્ગંધ આવવા લાગીચાંદખેડામાં યોગેન્દ્ર કુમાર ઓઝાએ ઝેપ્ટો એપ પરથી મંગાવેલા બ્રેડ-પાંઉના પેકેટમાંથી દુર્ગંધ આવતી હતી અને તેના પર સ્પષ્ટ ફૂગ લાગેલી જોવા મળી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ પોલીસ અને મ્યુનિય ફૂડ વિભાગની ટીમે ફરિયાદીની હાજરીમાં જ ઝેપ્ટો સ્ટોર પરથી સેમ્પલ લીધા હતા અને મેનેજરને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચૂંટણીના પ્રચારના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પ્રચાર માટે જોર લગાવ્યું છે. જોકે, કોંગ્રેસે હજુ ઉમેદવારોને ખર્ચ માટેના પૈસા ન આપતા ઉમેદવારો મૂંઝાયા છે. કોંગ્રેસના સૂત્રોના કહ્યા પ્રમાણે ઉમેદવારો દ્વારા અમદાવાદ શહેર અને પ્રદેશના નેતાઓ સમક્ષ ચૂંટણી ખર્ચ માટે માગ કરી છે, જેથી કોંગ્રેસ એકાદ-બે દિવસમાં ઉમેદવારનો ચૂંટણી ખર્ચ પેટ રકમ પૂરી પાડે તેવી શક્યતા છે. પાર્ટીએ કેન્સલ ચેક પણ લીધાકોંગ્રેસે ચૂંટણી લડતા ઉમેદવારો પાસેથી કેન્સલ ચેક લીધા છે. આ રકમ સીધી ખાતામાં જમા કરાવાશે. 2021માં યોજાયેલી મ્યુનિ.માં ચૂંટણીમાં કોંગ્રેસે પેનલદીઠ દોઢ લાખ રકમ આપી હતી. આ વખતે કોંગ્રેસ બે લાખ કે તેનાથી વધારે રકમ આપે તેવી શક્યતા છે. જો કે,ચૂંટણીનો ખર્ચ જોતા આ રકમથી ઉમેદવારોનો ખર્ચ નીકળવાનો નથી,પરંતુ કોંગ્રેસે પોતે આર્થિક સંકડામણમાં હોવાથી પેનલદીઠ રૂ.2 લાખ આપે તેવી શક્યતા છે.
મ્યુનિ. ચૂંટણી માટે મત માગવા નીકળતા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. સાબરમતી, રામોલમાં તો ભાજપના ઉમેદવારો સામે લોકોમાં ભારે રોષ છે. રામોલમાં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને તો સોસાયટીમાં પણ ઘૂસવા દેવાયા નથી. સાબરમતીમાં ઠાકોર સમાજે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લગાવ્યા છે. તો લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ સામે આ વખતે વિરોધનો સૂર ઊઠ્યો છે. લાંભા : ચૂંટાયા પછી ભાજપ સાથે બેસી જવાનો આક્ષેપલાંભા વોર્ડમાં અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડ સામે આ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જેમાં તેઓ ચૂંટાયા પછી ભાજપ સાથે બેસી જતાં હોવાનો આક્ષેપ કરાયો છે. કાળુ ભરવાડ કે અપક્ષ ઉમેદવારોએ આ વિસ્તારમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લાગ્યા છે. ભાજપની મિટિંગ ચાલતી હતી ત્યારે સ્થાનિકોએ હોબાળો પણ કર્યો હતો. રામોલ-હાથીજણ : ભાજપના ઉમેદવારને કહ્યું, ખાડા પડ્યા ત્યારે ઓળખતા ન હોતા, હવે કેમ આવ્યા છો?પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ પ્રચાર માટે સોસાયટીમાં પહોંચતા મહિલાઓએ રસ્તો રોક્યો હતો. રોડના ખાડાની જૂની રજૂઆતો યાદ અપાવી મહિલાઓએ રોકડું પરખાવ્યું કે, “મુસીબતમાં તમે ઓળખતા નહોતા, તો હવે કેમ આવ્યા?” દારૂડિયા કાર્યકરો સાથે લાવ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશવા દીધા નહોતા. સાબરમતી : ઠાકોર સમાજે ભાજપ વિરોધી બેનર લગાવ્યાંટિકિટ ફાળવણીમાં અન્યાય થતાં સાબરમતીમાં ઠાકોર સમાજે ભાજપ વિરોધી બેનર લગાવ્યા છે.ભાજપના ઉમેદવારોએ પ્રચાર કરવા અમારી ચાલી કે ગામમાં આવવું નહીં. અમે ભાજપનો વિરોધ કરીએ છીએ.
અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં વધતા અકસ્માતો રોકવા એક નવી પહેલ કરી છે. પોલીસના સરવે મુજબ ટ્રાફિક નિયમો તોડનારામાં સૌથી વધુ 18થી 40 વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. જે સૌથી વધુ મલ્ટિપ્લેક્સની મુલાકાત લે છે. આથી હવે તમામ સિનેમા હોલ્સમાં ફિલ્મની શરૂઆતમાં, ઈન્ટરવલમાં અને ફિલ્મ પૂર્ણ થયા પછી ટ્રાફિક અવેરનેસની શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે. આ અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં આવેલી 458 ફિલ્મોમાંથી નિષ્ણાતોએ શ્રેષ્ઠ 10 ફિલ્મોની પસંદગી કરી છે. 30 સેકન્ડથી 2 મિનિટની આ ફિલ્મોમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ચાલુ વાહને મોબાઈલના ઉપયોગથી થતા ભયાનક અકસ્માતો અને તેનાથી વેરવિખેર થતા પરિવારોની કરુણતા દર્શાવવામાં આવી છે. પોલીસને આશા છે કે આ ‘સોફ્ટ પાવર’ના ઉપયોગથી લોકોની માનસિકતા બદલાશે. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાએ કહ્યું છે કે, ‘માત્ર દંડ વસૂલવાથી લોકોની માનસિકતા બદલાતી નથી, દંડ ભરીને લોકો ફરી એ જ ભૂલ કરે છે. સિનેમા હોલમાં લોકો શાંતિથી બેઠા હોય છે, ત્યારે આ શોર્ટ ફિલ્મોની અસર તેમના મગજ પર લાંબા સમય સુધી રહેશે. ટૂંક સમયમાં તમામ થિયેટરોમાં આ ફિલ્મો ફરજિયાત બતાવવાની સૂચના અમલી બનશે.’ 458 ફિલ્મમાંથી પસંદ થયેલી 10 શોર્ટ ફિલ્મ દેખાડાશેપોલીસે અગાઉ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન રાખી હતી. જેમાં 707 રજિસ્ટ્રેશન થયા હતા અને 458 ફિલ્મો બની હતી. જે બાદ એક્સપર્ટની પેનલે 10 ફિલ્મને સિલેક્ટ કરીને ઈનામ આપ્યું હતું. આ 10 ફિલ્મોમાં હેલ્મેટ વિના ડ્રાઈવિંગ, રોંગ સાઈડ, ત્રણ સવારી, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ, સીટ બેલ્ટ ન પહેરવો અને ટ્રાફિક સિગ્નલનો ભંગ જેવા ગંભીર વિષયોને આવરી લેવાયા હતા. જેથી હવે 30 સેકેન્ડથી લઈને 2 મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ સિનેમાના પડદે બતાવવામાં આવશે. સૌથી વધુ દંડ ભરવામાં અમદાવાદીઓ દેશમાં ચોથા ક્રમેછેલ્લાં 3 વર્ષમાં અમદાવાદમાં કુલ 28 લાખ ટ્રાફિક ચલણ ઇશ્યુ થયા છે, તેમાં દંડની કુલ રકમ 1823 છે. શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ લોકોને રોજ સરેરાશ 2562 ચલણમાં 1.62 કરોડ દંડ ફટકારાય છે. સૌથી વધુ દંડ ભરવામાં ગુરુગ્રામ, પૂણે, ચેન્નઇ પછી અમદાવાદીઓ દેશમાં ચોથા ક્રમે અને ચલણ ઇશ્યૂ થવામાં ત્રીજા ક્રમે છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિદેશોની નકલ કરીને બનાવાયેલા વિશાળ ફૂટપાથો હવે શહેરના ટ્રાફિક માટે માથાનો દુખાવો બની ગયા છે. મીઠાખળીમાં 18 મીટરના રોડ પર 9 મીટરનો ફૂટપાથ બનાવી દેવાતાં એક જ બસમાં રસ્તો બ્લોક થઈ જાય છે. ગત જાન્યુઆરીમાં વિરોધ બાદ મ્યુનિ.એ ફૂટપાથની ઊંચાઈ ઘટાડી રોડને સમાંતર તો કરી દીધી, પણ રસ્તો પહોળો ન કર્યો. પરિણામે આ જગ્યા હવે આડેધડ પાર્કિંગ અને લારીઓનાં દબાણો થઈ જતાં વાહનચાલકો સાંકડા રસ્તા પર ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. ઇસ્કોનથી પકવાન જંક્શન સુધીનો રોડ, નવરંગપુરા, સીજી રોડ વિસ્તારમાં પણ ફૂટપાથોને કારણે રસ્તા સાંકડા થઈ ગયા છે. ભાસ્કર નોલેજ : અમદાવાદમાં 72% રોડ ફૂટપાથ વિનાના મનપાના વાર્ષિક અહેવાલ મુજબ, શહેરના 2634 કિમીના રોડ નેટવર્કમાંથી માત્ર 28%માં ફૂટપાથ છે. કુલ 731 કિમી રોડની આજુબાજુ ફૂટપાથ છે. સેપ્ટના અભ્યાસ મુજબ, જેટલા રોડ પર ફૂટપાથ છે, તેમાંથી 28% પર પાર્કિંગનું દબાણ રહે છે. ફોલ્ટી ડિઝાઇન: આ ચાર જગ્યાએ બ્યુટિફિકેશન કરવાના મોહમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ભુલાઈ ગયું 1. મીઠાખળી: એક AMTS બસ પસાર થાય તો આખો રોડ બ્લોક થઈ જાય ગિરીશ કોલ્ડ્રિંક્સથી મીઠાખળી છ રસ્તા: 18 મીટરના રોડ પર 9 મીટરનો ફૂટપાથ બનાવી દીધો. સ્થિતિ એવી છે કે, એક બસ પસાર થાય તો આખો રોડ બ્લોક થઈ જાય છે. કોન્ટ્રાક્ટરોએ હવે ફૂટપાથને રોડને સમાંતર બનાવ્યો છે, પણ અહીં લારીનાં દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા યથાવત્ છે. 2. ઈસ્કોનથી પકવાન: સર્વિસ રોડ પર ગાર્ડનનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો ઇસ્કોનથી પકવાન જંક્શન રોડ: ઇસ્કોન પાસે રસ્તા વચ્ચે આવતા ફુવારાને કારણે અકસ્માતનું જોખમ રહે છે. એકતરફ ગાર્ડન અને ફૂટપાથને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે તો બીજી તરફ કોમર્શિયલ એકમોનાં વાહનો રસ્તા પર પાર્ક થતાં હોવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર બની છે. 3. નવરંગપુરામાં ફૂટપાથ નાનો કરવો પડ્યો અહીં પણ વિશાળ ફૂટપાથ માટે ખોદકામ થયું હતું, પરંતુ સ્થાનિકોના ભારે હોબાળાને કારણે પીછેહઠ કરવી પડી. અંતે ખોદેલું પુરાણ કરી ફરી નાનો ફૂટપાથ બનાવવાની નોબત આવી, જેમાં નાગરિકોના ટેક્સના નાણાંનો ધુમાડો થયો. 4. લો ગાર્ડનથી પાલડી: પાર્કિંગ માટે વિશાળ ફૂટપાથ બનાવી રસ્તો અડધો કરી નાખ્યો લો ગાર્ડન- રસાલા પાર્કથી પાલડી અંડરપાસ તરફનો રસ્તો:અહીં વાહન પાર્ક થાય તે માટે ફૂટપાથ મોટો બનાવાયો છે. જોકે તેને કારણે રસ્તો અડધો થઈ ગયો છે. એક બસ જાય અને બાજુમાંથી બીજી બસ ઓવરટેક કરે તો અકસ્માતનું જોખમ છે. પાર્કિંગ માટે બનાવેલા ફૂટપાથથી કારણે ટ્રાફિક અંતરાય છે.
બાળ લગ્ન અટકાવવા પગલાં:અક્ષય તૃતીયા પર બાળલગ્ન અટકાવવા વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે નિર્દેશ
અક્ષય તૃતીયાના આ શુભ પ્રસંગે રાજ્યમાં મોટા પાયે લગ્ન સમારોહનું આયોજન થઈ રહ્યું હોવાથી, રાજ્ય વહીવટી તંત્રે બાળ લગ્ન અટકાવવા માટે કડક પગલાં લીધાં છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મેઘના સાકોર- બોર્ડિકરે રાજ્ય સ્તરીય દૂરદર્શન પ્રણાલી દ્વારા યોજાયેલા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્રામ્ય સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધીની વિવિધ એજન્સીઓને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યના તમામ સરપંચો, પોલીસ પાટીલો, ગ્રામ સેવકો અને આંગણવાડી સેવિકાઓને ગામમાં લગ્ન પહેલાં છોકરા અને છોકરીની ઉંમર ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને ખાસ કરીને અક્ષય તૃતીયા પર યોજાતા લગ્ન સમારોહ પર નજર રાખીને બાળ લગ્ન અટકાવવા માટે સંકલનમાં કામ કરવા કહેવામાં આવ્યું હતું. મંદિરો, લગ્ન મંડપો અને અન્ય લગ્ન સ્થળોનું ભૌતિક નિરીક્ષણ કરવા માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. બાળ લગ્નનો કોઈ કેસ જણાય તો તાત્કાલિક કેસ નોંધવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહેસૂલ, પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠકો યોજીને જિલ્લાવાર કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તમામ તહેસીલદાર અને જૂથ વિકાસ અધિકારીઓને આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, લગ્ન સંબંધિત સેવા પ્રદાતાઓ જેમ કે લગ્ન કાર્યાલયો, કેટરર્સ, પ્રિન્ટિંગ પ્રેસ, ફોટોગ્રાફર્સ, સંગીતકારો અને ધાર્મિક નેતાઓએ છોકરા અને છોકરીની ઉંમર ચકાસ્યા વિના કોઈપણ સેવા પૂરી પાડવી જોઈએ નહીં, અન્યથા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાળ લગ્ન સામે જનજાગૃતિ વધારવા માટે, ગામવ્યાપી દાવડી, પોસ્ટર ઝુંબેશ, ખાસ ગ્રામસભા, શાળાઓમાં વાલી સભાઓ અને મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા પ્રચાર કરવામાં આવશે. દરમિયાન, નાગરિકોને બાળ લગ્ન સંબંધિત કોઈ પણ માહિતી ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અથવા 112 ડાયલ કરવા અપીલ કરવામાં આવી છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. રાજ્યમંત્રી મેઘના સાકોર-બોર્ડિકરે સમાજના તમામ વર્ગોને રાજ્યમાં બાળ લગ્નને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી છે.
બેંગકોકથી મુંબઈ આવતું ડ્રગ ઝડપાયું:મુંબઈ એરપોર્ટ પર 9 કરોડના ડ્રગ્સ સાથે તસ્કરની ધરપકડ
બેંગકોકથી મુંબઈમાં આશરે રૂ. 9 કરોડનું ડ્રગ્સ (હાઈડ્રોપોનિક વીડ) લાવનારા તસ્કરને મુંબઈ કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) દ્વારા ઝડપી લેવાયો છે. આરોપીને બસંત સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવયો છે. તે મૂળ હરિયાણાના રિયા ખાતે વીપીઓ સંત નગરનો રહેવાસી છે. શનિવારે સાંજે થાઈ એરવેઝની ફ્લાઈટ નં. ટીજી-317માં તે બેંગકોકથી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં ઊતરતાં જ આગોતરી માહિતીને આધારે એઆઈયુના અધિકારીઓએ તેને ટી2 ખાતે અરાઈવલ હોલમાં આંતર્યો હતો. તેણે પોતાની પાસે કશું જ વાંધાજનક નથી એમ જણાવ્યું હતું. જોકે તેની પાસેની ચેક-ઈન બેગેજ તપાસતાં તેમાં કપડાં અને ફૂડ પેકેટ્સ મળી આવ્યા હતા. તે બહાર કાઢતાં 9 ડબલ લેયરવાળાં પારદર્શક પ્લાસ્ટિકનાં પેકેટ્સ મળી આવ્યાં હતાં. તે ખોલીને તપાસ કરતાં લગભગ 9 કિલો હાઈડ્રોપોનિક વીડ મળી આવ્યું હતું, જે પ્રતિબંધિત માદક પદાર્થ છે. આ સર્વ જપ્ત કરીને તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. તેણે દાણચોરીથી આ ડ્રગ્સ લાવ્યો હોવાનું કબૂલ કર્યું છે. હવે તે આ માલ કોની પાસેથી લાવ્યો, ક્યાં પહોંચાડવાનો હતો અને તેની સાથે વધુ કોણ સંકળાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે, એમ એઆઈયુના અધિકારીએ જણાવ્યું હતું. તેને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
CMનો નિર્દેશ:વીજ પુરવઠામાં સાતત્ય માટે એઆઈનો ઉપયોગ કરવાનો મુખ્યમંત્રીનો નિર્દેશ
રાજ્યમાં વધતી વીજની માગ જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉર્જા વિભાગને મહત્વના નિર્દેશ આપ્યા છે. વીજ નિર્મિતી અને વીજ પુરવઠો ચાલુ રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અસરકારક ઉપયોગ કરવા પર ભાર મૂકવો એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે થયેલા કયાસ બેઠકમાં ઉર્જા વિભાગના મુખ્ય સચિવ આભા શુક્લા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. ઉપરાંત ટાટા પાવર, અદાણી પાવર અને બેસ્ટ સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ઉનાળો અને આગામી ચોમાસાને ધ્યાનમાં લઈને વીજ પુરવઠો ખંડિત ન થાય એ માટે બધી યંત્રણાઓએ સજ્જ રહેવું જરૂરી છે. દેખભાળ, રિપેરીંગ અને વ્યવસ્થાપનના કામમાં એઆઈનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારવી એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ઉર્જા વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં જરૂરી વીજ નિર્મિતી માટે પૂરતા પ્રમાણમાં કોલસો અને પાણી ઉપલબ્ધ છે. તેમ જ રૂફટોપ સૌર ઉર્જાના કારણે વીજ ઉત્પાદનમાં વધારો થયો છે. મોનસૂનપૂર્વ દેખભાળ અને રિપેરીંગના કામ પણ ઝડપથી ચાલી રહ્યા છે. જરૂર પડ્યે કોયના જલવિદ્યુત પ્રકલ્પ 1800 મેગાવોટ સુધી પૂર્ણ ક્ષમતાથી વાપરવાની તૈયારી કરવામાં આવી છે. આપત્કાલીન પરિસ્થિતિમાં અતિરિક્ત વીજ ખરીદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુંબઈ માટે આઈલેન્ડિંગ સિસ્ટમ કાર્યરત છે. ગ્રીડમાં કોઈ ખરાબી થાય તો મુંબઈને સ્વતંત્રપણે પુરવઠો કરવાની ક્ષમતા આ યંત્રણામાં છે. તેથી મોટા પ્રમાણમાં વીજ ખંડિત થવાથી સંરક્ષણ મળે છે. એમએમઆર ક્ષેત્રમાં પ્રસારણ પ્રણાલી મજબૂત કરવાનું કામ ચાલુ છે. ભિરા પંપ્ડ સ્ટોરેજ પ્રકલ્પ કાર્યરત છે. તેમ જ તમામ બ્લેક સ્ટાર્ટ ડ્રિલ્સ અને રાજ્ય લોડ ડિસ્પેચ કેન્દ્રની બેકઅપ કન્ટ્રોલ ડ્રિલ સફળતાપૂર્વક પૂરી થઈ છે જેથી આપત્કાલીન પરિસ્થિતિમાં પણ વીજ પુરવઠો ચાલુ રાખી શકાશે.
સિટી એન્કર:કાંદિવલીના ચારકોપમાં હેલિપેડ તૈયાર કરવા મહાપાલિકાની ચકાસણી
મુંબઈ મહાપાલિકા કોસ્ટલ રોડ ઉત્તર પ્રકલ્પ પ્રમાણે કાંદિવલીના ચારકોપ ખાતે બીજું હેલિપેડ ઊભું કરવાનો વિચાર કરી રહી છે. દક્ષિણ મુંબઈના કોસ્ટલ રોડ પ્રકલ્પ માટે વરલી ખાતે ઊભા કરવામાં આવેલા હેલિપેડ પ્રમાણે આ નવો પ્રકલ્પ વિકસિત કરવામાં આવશે. આ પ્રકલ્પ સાર્વજનિક-ખાનગી ધોરણે અમલમાં મૂકવામાં આવશે. પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર ચારકોપ પરિસરમાં અત્યારે ચાલી રહેલા બોગદાના બાંધકામ માટે વાપરવામાં આવતી જગ્યા આગામી તબક્કામાં હેલિપેડ માટે વાપરવામાં આવશે. બોગદાનું કામ પૂરું થયા પછી આ જગ્યાનો ફરીથી ઉપયોગ કરીને હેલિપેડ ઊભું કરવામાં આવશે. લગભગ 5 હજાર સ્કવેર મીટર એરિયા આ પ્રકલ્પ માટે જરૂરી છે જે ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. કાંદિવલીના ચારકોપ ખાતેનો પ્રસ્તાવિત હેલિપેડ મુંબઈનો બીજા ક્રમનો હેલિપેડ હશે. ચારકોપથી મલાડના માઈન્ડસ્પેસને જોડતા નિયોજિત બોગદાના શરૂઆતના તબક્કા પર એ ઊભો કરવામાં આવે એવી શક્યતા છે. દરમિયાન હેલિપેડ માટે અંતિમ જગ્યા નિશ્ચિત કરવા પહેલાં વિવિધ ટેકનિકલ બાબતોની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને પરિસરમાં હાઈ વોલ્ટેજ વાયર છે કે નહીં, ઉડ્ડયન માટે જરૂરી સુરક્ષિતતા ધોરણ પૂરા થાય છે કે નહીં એની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોસ્ટલ રોડ પર મરિનડ્રાઈવથી બાન્દરા સુધી ઝડપી પ્રવાસ પછી એને હવાઈ પરિવહનનો ટેકો આપીને મુંબઈગરાને મલ્ટિમોડેલ કનેક્ટિવિટી આપવામાં આવશે. એના માટે વરલી ખાતે હેલિપેડ ઊભું કરવામાં આવે છે. એર એમ્બ્યુલન્સ માટે વરદાન: મહાપાલિકા પ્રશાસન આ હેલિપેડનો ઉપયોગ પરિવહન સેવા ઉપરાંત આપત્કાલીન સેવા માટે કરવાનો ગંભીરતાથી વિચાર કરી રહી છે. એર એમ્બ્યુલન્સની જેવી સેવાના લીધે દર્દીઓને વહેલાસર મુખ્ય હોસ્પિટલમાં ખસેડવા શક્ય થશે. તેથી ગંભીર દર્દીઓને ગોલ્ડન અવરમાં સારવાર મેળવવામાં મદદ થશે. મહાપાલિકાને 50 ટકા ભાગકરાર અનુસાર હેલિકોપ્ટર લેન્ડિંગ ફીમાંથી 50 ટકા ભાગ મુંબઈ મહાપાલિકાને મળશે. દર મહિને ઓછામાં ઓછા 24 લાખ રૂપિયા ખાતરી રકમ તરીકે આપવાની શરત મૂકવામાં આવી છે. આ બંનેમાંથી વધુ રકમ મહાપાલિકાને મળશે. પ્રાથમિક નિયોજન અનુસાર જરૂરી ટેકનિકલ અને કાયદાકીય પરવાનગીઓ પૂરી થયા પછી બે વર્ષના સમયગાળામાં આ હેલિપેડ કાર્યાન્વિત કરવાનો ઉદ્દેશ છે.
અમરાવતી જાતીય શોષણ કેસ:આઠ માંથી પહેલી પીડિતા સામે આવી નિવેદન નોંધાવ્યું
અમરાવતીમાં હચમચાવી નાખનારા સગીર છોકરીઓના જાતીય શોષણના કેસમાં આખરે એક મોટો કાનૂની અવરોધ દૂર થયો છે. સામાજિક ભય અને કલંકને અવગણીને, નાગપુરની એક બહાદુર 15 વર્ષની છોકરીએ આગળ આવીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ કેસમાં ઓળખાયેલી આઠ પીડિતામાંથી તે પહેલી છે જેણે પોલીસની અપીલનો જવાબ આપ્યો છે, જેનાથી આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓની સાંકળ મજબૂત બની છે.આ કેસના મુખ્ય આરોપી અયાન અહેમદે કેટલીક સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તેમનો વિડિયો બનાવ્યો હતો. આ કેસમાં અન્ય સાત પીડિતાઓની ઓળખ થઈ ગઈ છે, પરંતુ બદનામીના ડરથી તેઓ હજુ સુધી આગળ આવ્યા નથી. જોકે, નાગપુરની આ પીડિતાએ લીધેલી પહેલથી પોલીસ સામેનો સૌથી મોટો કાનૂની અવરોધ દૂર થયો છે. હવે, પીડિતાના સીધા નિવેદનથી આ કેસમાં આરોપીઓ માટે કડક સજાનો માર્ગ મોકળો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતાએ પોલીસ તપાસમાં સહયોગ આપવા માટે શનિવારે નાગપુરથી અમરાવતી (વળતર) સુધી 250 કિલોમીટરની મુસાફરી કરી હતી. યવતમાળ પોલીસ ઇન્સ્પેક્ટર યશોધરા મુનેશ્વરના નેતૃત્વમાં મહિલા ટીમે તેનું નિવેદન નોંધ્યું હતું.આ કેસના મુખ્ય આરોપી અયાન અહેમદે કેટલીક સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તેમના વિડિયો બનાવ્યા હતા. જોકે અન્ય 7 પીડિત છોકરીઓની ઓળખ પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ સામાજિક કલંકના ડરથી તેઓ હજુ સુધી આગળ આવી નથી, જ્યારે અન્ય છોકરીઓને સોશિયલ મિડિયા દ્વારા જાળમાં ફસાવી દેવામાં આવી હતી, ત્યારે નાગપુરની આ પીડિતા એક 'ઉર્સ' દરમિયાન આરોપીના 'ઓફફલાઇન' સંપર્કમાં આવી હતી. આરોપી ફરતે ગાળિયો મજબૂતપોલીસે શરૂઆતમાં ફક્ત ગુપ્ત માહિતીના આધારે જ કેસ નોંધ્યો હતો. જોકે, હવે પીડિતાએ પોતાની જુબાની આપી દીધી છે, તેથી પોલીસ FIRમાં POCSO અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT એક્ટ) ની કડક કલમોનો સમાવેશ કરવા જઈ રહી છે. ૧૩ એપ્રિલના રોજ નોંધાયેલો આ કેસ ટેકનિકલ પુરાવા પર આધારિત હતો. અયાનની તપાસમાં આઠ પીડિતોના નામ જાહેર થયા હતા, પરંતુ કોઈ પણ પીડિત સત્તાવાર ફરિયાદ નોંધાવવા તૈયાર ન હોવાથી કાનૂની મુશ્કેલી ઊભી થઈ હતી. નાગપુરની આ યુવતીએ કરેલી પહેલથી હવે અયાન અને તેની ગેંગ માટે કડક સજાનો માર્ગ મોકળો થયો છે. અમરાવતી ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિશાલ આનંદ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીડિત યુવતી માનસિક રીતે સ્થિર અને સ્વસ્થ છે અને તેનું નિવેદન તપાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
મુંબઈના ગોરેગાવ નેસ્કો કોમ્પ્લેક્સમાં આયોજિત લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્ઝના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓના મૃત્યુનું ઘટના બની હતી. આ પ્રકરણની તપાસમાં હવે આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે. આ પ્રકરણનો વ્યાપ હજી વધ્યો છે. નેસ્કો, ગોરેગાવ ખાતેની પાર્ટીમાં ડ્રગ્ઝના પ્રકરણમાં વધુ એક જણની પોલીસે ધરપકડ કરી હતી. કોન્સર્ટના એક સુરક્ષારક્ષકની પોલીસે શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ સુરક્ષારક્ષક નેસ્કોનો કર્મચારી નથી પણ થર્ડ પાર્ટી ઈવેન્ટ આયોજક તરફથી નિયુક્ત કરવામાં આવ્યાની માહિતી મળી છે. તપાસમાં જાહેર થયેલી માહિતી અનુસાર આ જ સુરક્ષારક્ષકની મદદથી આરોપીએ ટિકિટ વિના કોન્સર્ટમાં પ્રવેશ કર્યાનો આરોપ છે. એના માટે સુરક્ષારક્ષકને એકથી દોઢ હજાર રૂપિયા લાંચ આપી હતી એમ જણાવવામાં આવે છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સુરક્ષારક્ષકની શોધ ચલાવી અને પછી પૂછપરછ માટે તાબામાં લીધો હતો. મોડી રાત્રે એની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના લીધે નેસ્કો ડ્રગ્ઝ પ્રકરણની તપાસનું ફોકસ હવે સુરક્ષા વ્યવસ્થામાં ત્રુટી અને કોન્સર્ટ પ્રવેશ પ્રક્રિયામાં ગેરવ્યવહાર તરફ વળે એવી શક્યતા છે. બીજી તરફ ગોરેગાવ નેસ્કો સેંટરમાં ડ્રગ્ઝ પાર્ટીની ઘટના પછી મુંબઈ પોલીસ તરફથી નવી નિયમાવલી જાહેર કરવામાં આવી છે. 2000 કરતા વધુ શ્રોતાવાળા લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ગિરદી થતી હશે તો મુંબઈ પોલીસની ત્રણ ટીમ એ ઠેકાણે નિયુક્ત કરવામાં આવશે. ગોરેગાવ નેસ્કો સેંટરમાં ડ્રગ્ઝ પાર્ટીમાં ડ્રગ્ઝના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. નિયમભંગ માટે કાર્યવાહીદરમિયાન આ ત્રણ ટીમમાં એક અધિકારી અને ચાર પોલીસ એમ પાંચ જણની નિમણુક કરવામાં આવશે. એ સાથે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર તરફથી ઈવેન્ટના પાસ પોલીસ તરફથી એનઓસી મળ્યા પછી જ ઓનલાઈન અને ઓફ્ફલાઈન વેચી શકાશે. આ નિયમોનો કોઈ પણ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર ભંગ કરશે તો તેના પર મુંબઈ પોલીસ તરફથી કઠોર કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો આપવામાં આવ્યો છે.
છેલ્લા અનેક વર્ષથી રખડી પડેલો દક્ષિણ મુંબઈના કામાઠીપુરાનો સમૂહ પુનર્વિકાસ હવે પાટે ચઢશે. ડેવલપરની નિયુક્તી કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે આપેલી મંજૂરી પછી મ્હાડાએ સંબંધિત ડેવલપરને મ્હાડાએ સંબંધિત ડેવલપરનેએટલે કે એલઓએ આપ્યો છે. આ પત્ર જારી થયાથી 45 દિવસમાં ડેવલપરને એસપીવી કંપનીની સ્થાપના અને બેંક ગેરંટી ભરવાનો નિર્દેશ આપ્યો છે. એ પછી વર્કઓર્ડર જારી કરીને પુનર્વિકાસની શરૂઆત થશે. પુનર્વિકાસમાંથી દરેક રહેવાસીને 500 સ્કવેર ફૂટનું મોટું ઘર મળશે. દક્ષિણ મુંબઈમાં 34 એકર જમીન પર વસેલા કામાઠીપુરાની 1 થી 15 ગલ્લીમાં લગભગ 943 ઉપકરપ્રાપ્ત ઈમારત છે. એમાં લગભગ 6 હજાર 625 નિવાસી અને 1 હજાર 376 અનિવાસી એમ કુલ 8 હજાર 1 રહેવાસીઓ રહે છે. એમાં 800 જમીન માલિક છે. આ ભાગની ઈમારતો 100 વર્ષ જૂની છે. પુનર્વિકાસમાંથી મ્હાડાને એક હજાર ઘર મળશે. જમીન માલિકોને પણ વળતર આપવામાં આવશે. 50 સ્કવેર મીટરના એરિયાના ભૂખંડ માટે 500 સ્કવેર ફૂટનું એક ઘર, 51 થી 100 સ્કવેર મીટર એરિયા માટે 500 સ્કવેર ફૂટના બે ઘર, 101થી 150 સ્કવેર મીટર એરિયા માટે 500 સ્કવેર ફૂટના ત્રણ ઘર, 151થી 200 સ્કવેર મીટર એરિયાના ભૂખંડ માટે 500 સ્કવેર ફૂટના ચાર ઘર, 200 સ્કવેર મીટરના એરિયાના ભૂખંડથી આગળ દર 50 સ્કવેર મીટર દીઠ 500 સ્કવેર ફૂટનું એક અતિરિક્ત ઘર જમીન માલિકને મળશે.
મંત્રાલયમાં થતી કાર્યકર્તાઓની ગિરદી અને મંત્રીઓની પાછળ દોડતી પીએની ફોજ પર હવે લગામ તાણવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મંત્રાલયમાં થતી ગિરદી ટાળવા એક કડક અને મોટો નિર્ણય લીધો છે. હવેથી મંત્રીમંડળની બેઠકના દિવસે મંત્રીની સાથે ફક્ત એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલે આ બાબતનો સખત નિયમ જારી કર્યા છે અને બધા મંત્રીઓને આ બાબતની સૂચના જારી કરવામાં આવી છે. મંત્રીમંડળની બેઠકના દિવસે મંત્રાલયમાં જાણે કે મેળો લાગ્યો હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. મતદારસંઘના પ્રશ્ન, કાર્યકર્તાઓના કામ અને પદાધિકારીઓની અવરજવરના લીધે મંત્રાલયનો છઠ્ઠો અને સાતમો માળે માણસોથી ઊભરાતો હોય છે. આ ગિરદીના લીધે કામકાજમાં અડચણ નિર્માણ થાય છે એવું નિરીક્ષણ મુખ્ય સચિવે નોંધ્યું છે. આ ગિરદીને બ્રેક લગાડવા હવે સરકારે નિયમાવલી સખત કરી છે. નવા નિયમ પ્રમાણે મંત્રીમંડળની બેઠકના દિવસે મંત્રી સાથે તેમના કાર્યાલયની ફક્ત એક જ વ્યક્તિને મંત્રીમંડળ સભાગૃહ સુધી એન્ટ્રી મળશે. બાકીના પીએ અથવા કાર્યકર્તાઓએ બહાર જ થોભવું પડશે. જો કોઈ વિશેષ વ્યક્તિને હાજર રહેવું હોય તો મુખ્યમંત્રીની પૂર્વપરવાનગી લેવી પડશે. એના દસ્તાવેજ સુરક્ષા અધિકારીને દેખાડ્યા વિના અંદર પગ મૂકી શકશે નહીં. ચમચાઓને આંચકોમુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને તમામ મોટા સચિવોની ઉપસ્થિતિમાં થનારી બેઠકમાં ગંભીરતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીઓની આસપાસ ફરતા કાર્યકર્તાઓની ફોજના કારણે અનેક વખત મહત્વની ફાઈલો લઈ જતા કે લઈ આવતા અડચણ નિર્માણ થાય છે. હવે આ નવા નિયમના કારણે મંત્રાલયમાં ફિલ્ડિંગ લગાડતા કાર્યકર્તાઓ કે ચમચાઓને મોટો આંચકો લાગ્યો છે.
રખડતા કૂતરાઓની વધતી સંખ્યા પર મૂકાયું નિયંત્રણ:ત્રણ વર્ષમાં 22 કરોડના ખર્ચે 1.35 લાખ કૂતરાની નસબંધી
મહાપાલિકાના માધ્યમથી લાખો રૂપિયા ખર્ચ કરીને વિવિધ ઉપાયયોજના કરવામાં આવતી હોવા છતાં રખડતા કૂતરાઓની દહેશત યથાવત છે. તેથી રખડતા કૂતરાઓની વધતી સંખ્યા પર નિયંત્રણ માટે મહાપાલિકા આગામી ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજાર કૂતરાઓની નસબંધી કરશે. એના માટે 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રખડતા કૂતરાઓની નસબંધી કરવા પરેલ ખાતેની વેટરનરી કોલેજ સહિત બીજી 9 સંસ્થાઓની નિમણુક કરવામાં આવશે. મુંબઈમાં રખડતા કૂતરાઓની સમસ્યા સપાટી પર આવી છે. ખાસ કરીને રાતના સમયે રખડતા કૂતરાઓની દહેશત ઘણી વધે છે. તેથી મહાપાલિકાના માધ્યમથી 1994થી રખડતા કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ મૂકવા માટે પ્રાણી જનન નિયંત્રણ (શ્વાન) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 1998થી હાઈ કોર્ટના આદેશ અનુસાર આ કાર્યક્રમ બિનસરકારી સંસ્થાઓના સહકાર્યથી અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારથી ઓગસ્ટ 2025 સુધી કુલ 4 લાખ 34 હજાર 529 રખડતા કૂતરાઓની નસબંધી કરવામાં આવી છે. 2024 અનુસાર રખડતા કૂતરાઓની સંખ્યા 90 હજાર 757 છે જેમાંથી 33 હજાર 671 કૂતરાઓની નસબંધી કરવામાં આવી છે. નસબંધી ન થયેલા નર અને માદા શ્વાનની સંખ્યા અનુક્રમે 22 હજાર 447 અને 11 હજાર 224 છે. ભવિષ્યમાં વધનારા કૂતરાઓની સંખ્યા 4 લાખ 48 હજાર 947 છે. કૂતરાઓની નસબંધી કરવા માટે કેટલીક સંસ્થાઓની નિમણુક કરવામાં આવી છે. એમાં મહાલક્ષ્મીની ધ વેલફેર ઓફ સ્ટ્રે ડોગ્ઝ, પરેલની ધ બોમ્બે સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ, દેવનારની ઈન ડિફેન્સ ઓફ એનિમલ, મલાડની અહિંસા સંસ્થા, મુલુંડની ઉત્કર્ષ ગ્લોબલ ફાઉન્ડેશન, પરેલની મુંબઈ વેટરનરી કોલેજ, યુથ ઓર્ગેનાઈઝેશન ઈન ડિફેન્સ ઓફ એનિમલ, મુલુંડની વેટરનરી થેરપેટિક્સ એન્ડોસર્જરી એન્ડ મેડિસિન સોસાયટી અને મલાડની યુનિવર્સલ એનિમલ વેલફેર સોસાયટીનો સમાવેશ છે.
કાંદિવલી સ્થિત પંચોલિયા હોલમાં તાજેતરમાં ભારતીય તહેવારોના રંગોથી રસબોળ એવા વાતાવરણ વચ્ચે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત શ્રી જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજનો વાર્ષિકોત્સવ 'ઉત્સાહ' ભવ્ય રીતે ઊજવાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ‘ફેસ્ટિવલ્સ’ થીમ હેઠળ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરંપરા અને એકતાનો જીવંત પરિચય રજૂ કર્યો, જેને દર્શકોએ ઉત્સાહભેર માણ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સોલિસિસ લેક્સના મેનેજિંગ પાર્ટનર એડવોકેટ અમિત મહેતા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સંસ્થાના શૈક્ષણિક તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સમાન મહત્ત્વ આપતા સકારાત્મક વાતાવરણ માટે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગે કેઈએસના ઉપપ્રમુખ મહેશ ચંદારાણા, સચિવ રજનીકાંત ઘેલાણી સહિત મેનેજમેન્ટ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ ઉત્સવને વિશેષ ગૌરવ આપ્યું. કાર્યક્રમ દરમિયાન કૉલેજનો વાર્ષિક અહેવાલ આચાર્યા ડૉ. વિરલ દવે દ્વારા રજૂ કરવામાં આવ્યો. તેમણે વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલી સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ, ઈત્તર પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી નોંધપાત્ર ઉપલબ્ધિઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો. સાથે જ, તેમણે ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.સાંસ્કૃતિક કાર્યક્રમ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉતરાયણ, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા વિવિધ ભારતીય તહેવારોને નૃત્ય, સંગીત અને નાટ્ય રૂપાંતરો દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કર્યા. આ રજૂઆતો દ્વારા ‘વિવિધતામાં એકતા’નો સંદેશ અસરકારક રીતે પ્રગટ થયો. વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા, ઉત્સાહ અને મહેનત એમના દ્વારા કરવામાં આવેલી પ્રસ્તુતિઓમાં સ્પષ્ટપણે ઝળહળી ઊઠી. ફેકલ્ટી સભ્યોનું સન્માન કરાયું: કાર્યક્રમનું વધુ એક મહત્ત્વપૂર્ણ ભાગ ‘સન્માન સમારોહ’ રહ્યો, જેમાં ડૉક્ટરેટનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ફેકલ્ટી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત, આંતર-કૉલેજ અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
સિટી એન્કર:મહિલા પ્રવાસીઓની સુરક્ષિતતા માટે RPFનું વિશેષ સખી વોટ્સએપ ગ્રુપ
પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા બળે (આરપીએફ) મુંબઈ ઉપનગરીય વિભાગની મહિલા પ્રવાસીઓની સુરક્ષિતતા માટે સખી નામનું સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે. આ ઉપક્રમ અંતર્ગત મહિલા પ્રવાસી આપત્કાલીન પરિસ્થિતિમાં સીધા આરપીએફ અધિકારીઓ સાથે સંપર્ક સાધીને તરત મદદ મેળવી શકશે. આરપીએફે અત્યાર સુધી ચર્ચગેટથી દહાણુ સુધી 11 વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા છે. આ માધ્યમથી લગભગ 1500 નિયમિત મહિલા પ્રવાસીઓ સીધા આરપીએફના સંપર્કમાં રહેશે. ઉપનગરીય ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓએ વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહિલાઓના અનામત ડબ્બામાં પુરુષોની ઘુસણખોરી, છેડતી, ચોરી વગેરે ગંભીર ઘટના લોકલ પ્રવાસમાં બને છે. તેથી સખી વોટ્સએપ ગ્રુપ ઉપક્રમની અસરકારક અમલબજાવણી શરૂ કરવામાં આવી છે. મહિલા ઉપનિરીક્ષક અથવા સહાયક મહિલા ઉપનિરીક્ષક એમ મહિલા અધિકારીઓ જ વોટ્સગ્રુપનું નેતૃત્ત્વ કરી રહી છે. મહિલા લોકલ પ્રવાસમાં કોઈ પણ અનિચ્છિત ઘટનાની ફરિયાદ ગ્રુપ પર કરી શકાશે. ગ્રુપમાં પ્રવાસનો ફોટો, સ્ટેશનનું નામ અને અપેક્ષિત મદદની માહિતી આપતા આરપીએફના જવાન આગળના એક-બે સ્ટેશનમાં સંબંધિત લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીની મદદ માટે દાખલ થશે. મહિલા પ્રવાસીઓને આપત્કાલીન પરિસ્થિતિમાં તરત મદદ મળવી જરૂરી છે. એ જ હેતુથી દિવ્યાંગ પ્રવાસીઓના ગ્રુપ પ્રમાણે મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે સખી વોટ્સએપ ગ્રુપ કાર્યરત રહેશે. રેલ મદદની 139 હેલ્પલાઈન સાથે જ આ તરત મદદ મેળવી આપનાર ઉપક્રમ ચાલુ રહેશે. સખી ગ્રુપમાં વધુમાં વધુ નિયમિત મહિલા પ્રવાસીઓને સહભાગી કરવામાં આવી રહી છે એમ રેલવે સુરક્ષા બળ મુંબઈ વિભાગના સુરક્ષા આયુક્ત રજત પુંડગીરે જણાવ્યું હતું. ઘુસણખોરો પર કાર્યવાહીઆરપીએફે મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે કાર્યવાહીના કઠોર પગલાં ભર્યા છે. પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગમાં છેલ્લા છ મહિનામાં 6 હજાર 195 ઘુસણખોરો પર રેલવે કાયદાની કલમ 162 અન્વયે કાર્યવાહી કરવામાં આવી. તેમની પાસેથી 13 લાખ 84 હજાર 100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પાટણમાં સગીરાના મોતના કેસમાં 6 વર્ષ જેલ વેઠ્યા બાદ પ્રેમી નિર્દોષ છૂટ્યો છે.આ સગીરા ઝેર પીતાં મોત થયું હોવાની ફરિયાદ થઈ હતી જોકે હકીકતમાં હાર્ટ એટેક નીકળ્યો છે. FSL અને મેડિકલ રિપોર્ટના ચોંકાવનારો ખુલાસો થયો છે જેલની સજા કાપી રહેલા વિજયજી ઠાકોરને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠેરવવામાં આવ્યો છે. માર્ચ 2020 માં પાટણના એક ગામની 7 વર્ષીય સગીરા અને 24 વર્ષીય વિજયજી ઠાકોર વચ્ચે પ્રગાઢ પ્રેમ સંબંધ પાંગર્યો હતો,પરંતુ સામાજિક મર્યાદાઓ આડે આવતા પરિવારે લગ્નનો ઈન્કાર કર્યો.પરિણામે 31 મી માર્ચે બંને ઘરેથી નીકળી ગયા. શોધખોળ દરમિયાન વિસલવાસણાના ખેતરમાં અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા જ્યાં તેમણે ઝેરી દવા પીધી હોવાની આશંકા સેવાઈ હતી.ગંભીર સ્થિતિમાં તેમને ધારપુર હોસ્પિટલ ખસેડાયા,પરંતુ 4 એપ્રિલ 2020 ના રોજ સારવાર દરમિયાન યુવતીએ અંતિમ શ્વાસ લીધા. દીકરી ગુમાવનાર પિતાએ વિજયજી પર અપહરણ અને આત્મહત્યા માટે ઉશ્કેરણી (દુષ્પ્રેરણ) જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવી હતી.પોલીસ તપાસમાં યુવકને મુખ્ય આરોપી બનાવી જેલ હવાલે કરી દેવાયો હતો. ત્રણ વખત જામીન અરજી રદ થઈ વિજયજીએ 5 વર્ષ, 10 મહિના અને 24 દિવસ જેલના સળિયા પાછળ વિતાવ્યા.આ લાંબા સમયગાળામાં તેણે ત્રણ વખત જામીન માટે સંઘર્ષ કર્યો,પરંતુ નીચલી અદાલતથી લઈને હાઈકોર્ટ સુધી તેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.યુવકે વર્ષો કેદમાં ગાળ્યા. અંતે 17 એપ્રિલે જ નિર્દોષ છૂટ્યો પીએમ રિપોર્ટમાં દવાથી નહી હાર્ટ અટેકથી મોત હોવાનું ખુલતાં યુવાન નિર્દોષ છૂટ્યો પોણા છ વર્ષ સુધી કોર્ટમાં ચાલેલી કોર્ટની પ્રક્રિયામાં અંતે સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂ કરેલા મેડિકલ પુરાવાઓએ આખા કેસનો પાયો હચમચાવી દીધો. ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે ઝેર પીવાને લીધે મોત થયું છે, પરંતુ એફ.એસ.એલ. (FSL) રિપોર્ટમાં સગીરાના શરીરમાંથી કોઈ પણ વિષતત્વની હાજરી મળી નહોતી. તબીબોએ પોસ્ટમોર્ટમ અહેવાલમાં સ્પષ્ટ કર્યું કે મૃત્યુનું વાસ્તવિક કારણ સંભવિત હાર્ટ એટેક હોઈ શકે છે.આ ઉપરાંત,ભોગ બનનારની ઉંમર અંગે શાળાના પ્રમાણપત્રોમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે પોક્સો એક્ટ હેઠળના આક્ષેપો નબળા પડ્યા.કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ મરવા મજબૂર કર્યો હોય તેવા કોઈ નક્કર સાબિતીના અભાવે તેમજ શંકાનો લાભ આપી વિજયજીને નિર્દોષ ઠેરવવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર હોય ખેતીના ઉત્પાદન વધારવા થાય માટે જમીનની જાળવણી અને સુધારણાના ઉદ્દેશથી પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સામાજિક હિતાર્થ સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વડાલી કેમ્પસ ખાતે આગામી જૂન-જુલાઈના નવા શૈક્ષણિક સત્રથી અંદાજે 50 લાખના ખર્ચે અત્યાધુનિક સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી (જમીન પરીક્ષણ લેબ) કાર્યરત કરાશે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ખાનગી કે અન્ય લેબમાં જમીન પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાનો રિપોર્ટ આવતા 3 થી 4 મહિનાનો સમય લાગે છે. જેના કારણે ખેડૂતો વાવણી સમયે ખાતરનું ચોક્કસ આયોજન કરી શકતા નથી. પરંતુ યુનિવર્સિટીની આ લેબમાં 50 લાખના ખર્ચની મશીનરી દ્વારા માત્ર એક સપ્તાહમાં જ પરિણામ મળી જશે. સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ, કેમેસ્ટ્રી વિભાગના ડૉ.પ્રો. કોકિલા પરમાર, આર્કિટેક્ચર વિભાગના વડા મીરાબેન ચેતવાણી અને બાંધકામ વિભાગ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાએ વડાલી કેમ્પસની મુલાકાત લઈ જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કમિટીની સૂચના મુજબ ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટરના બિલ્ડિંગમાં લેબ સ્થાપવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં જરૂરી સાધનો વસાવવા અને સ્ટાફ અંગેની પ્રક્રિયા કરાશે. એક્સપર્ટ વ્યૂ : જમીનના રિપોર્ટથી યુરિયા કે ડીએપી જેવા ખાતરનો આડેધડ ઉપયોગ ઘટશેઆ લેબ શરૂ થવાથી ખેડૂતોને જમીનના સ્વાસ્થ્ય અંગે સચોટ માહિતી મળશે. લેબમાં જમીનના નમૂના તપાસ્યા બાદ ખેડૂતોને જણાવવામાં આવશે કે તેમની જમીનમાં કયા પોષક તત્વો ઓછા છે. આનાથી યુરિયા કે ડીએપી જેવા ખાતરનો આડેધડ ઉપયોગ ઘટશે અને ખેતી ખર્ચમાં મોટો ફાયદો થશે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે પણ આ લેબ આશીર્વાદરૂપ સાબિત થશે. > લેબોરેટરીના કો-ઓર્ડિનેટર ડૉ.પ્રો કોકિલા પરમાર, કેમેસ્ટ્રી વિભાગ HNGU લેબોરેટરીમાં હાઈટેક સાધનો વસાવવામાં આવશે જેનાથી રિપોર્ટ 7 દિવસમાં મળશેજમીનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પોષક તત્વો માપવા લેબમાં અત્યાધુનિક સાધનો વસાવાશે. જેમાં જમીનની એસિડિટી માપવા pH મીટર, ક્ષારની તપાસ માટે કન્ડક્ટિવિટી મીટર, ઝીંક-લોહ-મેંગેનીઝ જેવા તત્વો માટે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર (AAS) નો ઉપયોગ થશે. આ ઉપરાંત પોટાશ માટે ફ્લેમ ફોટોમીટર ફોસ્ફરસ-સલ્ફર માટે સ્પેક્ટ્રોફોટોમીટર અને નમૂના સૂકવવા માટે હોટ એર ઓવનજેવા સાધનોથી લેબ સજ્જ હશે. જેના દ્વારા સાત દિવસમાં જ રિપોર્ટ મળશે. નવા વર્ષથી વડાલી કેમ્પસમાં MSc CA IT નો 5 વર્ષનો કોર્ષ શરૂ થશેવડાલી કેમ્પસને એજ્યુકેશન હબ બનાવવા નવા સત્રથી MSc CA IT નો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્ષ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભાવેશભાઈ પટેલ અને બિરેનભાઈ પટેલની કમિટીએ અહીં અદ્યતન કમ્પ્યુટર લેબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી કરી અહેવાલ કુલપતિને સુપ્રરત કર્યો છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આઈટીના શિક્ષણ માટે હવે મોટા શહેરોમાં નહીં જવું પડે અને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ ડિગ્રી પ્રાપ્ત થશે.
સમી તાલુકાના દાઉદપુર ગામના હરખાભાઈ નાડોદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંથી નિવૃત્ત થયા બાદ પ્રગતિશીલ ખેડૂત બની ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં નવી મિસાલ સ્થાપી છે.દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારતીય કૃષિ ક્ષેત્રમાં ગૌરવ વધારતી સિદ્ધિરૂપે, કૃષિ જાગરણ દ્વારા નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન (IARI) ખાતે 17 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા સમારોહમાં સમી તાલુકાના દાઉદપુર ગામના પ્રગતિશીલ ખેડૂત હરખાભાઈ જેસંગભાઈ નાડોદા ને “ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ એવોર્ડ 2026” એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રતિષ્ઠિત એવોર્ડ પૂર્વ કેન્દ્રીય કૃષિ સચિવના હસ્તે આપવામાં આવ્યો હતો. હરખાભાઈએ પોતાના ખેતરમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવીને પંચસ્તરીય મોડલ વિકસાવ્યું છે, જેના કારણે ઉત્તમ ઉત્પાદન સાથે પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન મળ્યું છે. તેમની આ અનોખી પહેલને માન્યતા આપતા તેમને આ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ સમારોહ દરમિયાન દેશભરના કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી. તેમની આ સિદ્ધિ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે અને ઓર્ગેનિક તેમજ નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
ભંગાર રોડના લીધે લોકો પરેશાન:પાલાવાસણા - બહુચરાજી રોડ પર 5 વર્ષથી ધીમીગતિએ બનતાં હાલાકી
મહેસાણાના પાલાવાસણા બાયપાસથી બહુચરાજી તરફ જતો મહત્વનો માર્ગ છેલ્લા પાંચ વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીને કારણે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. પાલાવાસણાથી બહુચરાજી જતો આ રસ્તો હાઈવે હોવા છતાં તેની હાલત કોઈ અંતરિયાળ ગામના કાચા રસ્તા જેવી થઈ ગઈ છે. ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે. વાહનોમાં મુસાફરી કરતા વૃદ્ધોને કમરના દુખાવા અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રાજ્ય સરકાર એક રસ્તો બનાવવામાં પાંચ-પાંચ વર્ષનો સમય લેતા મુસાફરો ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહુચરાજી અને શંખેશ્વર જેવા પવિત્ર યાત્રાધામોને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે. સ્થાનિક ગ્રામજનો અને યાત્રિકોની લાગણી છે કે આગામી ચોમાસું બેસે તે પહેલાં ઓછામાં ઓછી એક તરફની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે તેવુ જયંત ભાવસારે જણાવ્યું હતું. ભંગાર રોડને લીધે વાહનચાલકો હેરાનગતિ ભોગવે છે.
વકીલના ઘરમાં ચોરી:સિદ્ધપુરમાં વકીલના મકાનમાંથી રૂ1.70 લાખ રોકડ, દાગીનાની ચોરી
સિદ્ધપુરના કે.બી. ટેનામેન્ટ વિસ્તારમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરે મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૂ1.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં સિદ્ધપુરના નવા ટાવર વિસ્તારમાં રહેતાં યશ દવે નાં પિતા હેમંતકુમાર દવે વકીલાતનો વ્યવસાય કરે છે અને આ પરિવાર નું હાઈવે રોડ ઉપર રસથાળ હોટલ નજીક કે.બી. ટેનામેન્ટમાં બીજું મકાન આવેલ છે. 13 એપ્રિલની રાત્રે પરિવારના સભ્યો જમ્યા બાદ તેમના પિતા તે મકાને જઈ રાત્રે આશરે 11:00 તાળું મારી પોતાના મૂળ રહેણાંક ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ 18 એપ્રિલની સવારના સમયે યશ અને તેમની બહેન રૂચીબેન સાફસફાઈ માટે ત્યાં પહોંચ્યા ત્યારે મકાનના મુખ્ય લાકડાના દરવાજાનો નકુચો તૂટેલો હતો. ઘરમાં પ્રવેશ કરતાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો અને કબાટ ખૂલેલા જોવા મળ્યા હતા. તપાસ કરતાં કબાટમાં મુકેલ થેલામાંથી રૂ 1,70,000ની રોકડ રકમ ગાયબ હતી. ઉપરાંત બીજા રૂમમાં મુકેલા ચાંદીની સીડી, ઉલિયું, ગાય, દીવિયા અને સિક્કા સહિતના નાના દાગીના મળ્યા ન હોતા,જેની અંદાજિત કિંમત રૂ 20,000 ગણાય છે. આ રીતે તસ્કરો રાત્રિના સમયે મકાનમાં ઘુસી કુલ રૂ 1.90 લાખ ની ચોરી અંજામ આપી ફરાર થઈ ગયો હતો.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉંદરામાં રોકડ-ચાંદીની ચોરીઉંદરા ગામે બંધ મકાનમાં તસ્કરોએ તાળું તોડી ચોરી કરી હતી સુરતમાં રહેતા ભાણજીભાઈ સુથારના ઘરમાં તસ્કરો ઘૂસી તિજોરી તોડી રોકડ અને ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 17 એપ્રિલ ના રોજ તેમના દિકરાની પત્ની આશાબેન ઘરે જતા દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાણજીભાઈ ગામે આવી તપાસ કરતાં મકાનનો દરવાજો અને તિજોરી તૂટેલી હાલતમાં મળી. તિજોરીમાંથી આશરે રૂ 25000 રોકડ અને ચાંદીના દાગીના ચોરી થયાનું સામે આવ્યું છે.પોલીસે તપાસ શરૂ કરી છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક (PG) કેન્દ્રો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ,કોમર્સ, સાયન્સ અને લો કોલેજોમાં ચાલતા PG સેન્ટરોએ હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીની વહીવટી મંજૂરી લેવી પડશે. જો કોઈ કોલેજ મંજૂરી વગર પ્રવેશ ફાળવશે, તો તે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ મેનેજમેન્ટની રહેશે. યુનિવર્સિટીના નવા નિયમ મુજબ, કોઈપણ વિષયના અનુસ્નાતક કેન્દ્રમાં તે વિષયના ઓછામાં ઓછા 2 માન્યતા પ્રાપ્ત શિક્ષકો હોવા અનિવાર્ય છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે આ નિયમનું પાલન કરવું જ પડશે. જે કોલેજો પાસે પૂરતો સ્ટાફ નથી, તેમને નવા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે તમામ કોલેજોએ નિયત ફોર્મેટમાં સ્ટાફની માહિતી અને માન્યતા પત્રોની નકલો યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે. યુનિવર્સિટી દ્વારા સ્ટાફ સહિતની સુવિધાઓની ચકાસણી કર્યા બાદ PG કેન્દ્રોમાં નવા વર્ષમાં પ્રવેશ માટે મંજૂરી આપશે. PG સેન્ટરોને વિગતો મોકલવા યુનિ.નો આદેશયુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને પરીપત્ર કરી આદેશ આપ્યો છે કે 30/04/2026 સુધીમાં કેન્દ્રની વિગતવાર માહિતી યુનિવર્સિટીના વહીવટી વિભાગને મોકલી આપે. જેમાં શિક્ષકોના નામ, માન્યતા પત્ર નંબર, નિવૃત્તિની તારીખ અને ગત વર્ષની પ્રવેશ સંખ્યાનો સમાવેશ કરવાનો રહેશે. માહિતીની ચકાસણી કર્યા બાદ જ યુનિવર્સિટી જે-તે કેન્દ્રને નવા વર્ષ માટે પ્રવેશ ની મંજૂરી આપી કે કેમ તેનું નિર્ણય લેશે. વિદ્યાર્થીઓ માટે કામની વાતવિદ્યાર્થીઓએઆ બાબતો ધ્યાન રાખવીવિદ્યાર્થીઓએ એડમિશન લેતા પહેલા ખાતરી કરી લેવી કે જે-તે કોલેજના PG સેન્ટરને યુનિવર્સિટી તરફથી ચાલુ વર્ષની મંજૂરી મળી છે કે નહીં. મંજૂરી વગરના પ્રવેશથી વિદ્યાર્થીનું વર્ષ બગડવાની શક્યતા રહેલી છે, કારણ કે યુનિવર્સિટી આવા વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારશે નહીં. કે પ્રવેશ માન્ય રાખશે નહી.
ભાસ્કર એનાલિસિસ:સાબરકાંઠા જિ.પં.ની ચૂંટણીમાં વર્ષ-2021ની જેમ આ વખતે પણ એકેય બેઠક બિનહરીફ નહીં
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2021ની સરખામણીએ 2026માં બેઠકોની સંખ્યા 36 થી ઘટીને 34 થઈ હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં નોંધપાત્ર સચોટતાં જોવા મળી છે. ગત ચૂંટણીમાં 64 ફોર્મ રદ થયા હતા. જેની સામે આ વર્ષે માત્ર 45 ફોર્મ રદ થયા છે. બીજી તરફ હરીફ ઉમેદવારોની સંખ્યા 97 થી વધીને 107 થઇ છે. એટલે કે, હરીફ ઉમેદવારોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ની જેમ જ આ વખતે પણ એક પણ બેઠક બિનહરીફ નથી થઇ.ત્યારે 107 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જિલ્લાના મતદારો કરશે. વર્ષ 2021માં જિલ્લા પંચાયતના કુલ 164 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 64 ફોર્મ ટેકનિકલ ખામી કે અપૂરતી વિગતોને કારણે રદ થયા હતા. તેની સરખામણીએ વર્ષ 2026માં કુલ 160 ફોર્મ ભરાયા છે, જેમાંથી માત્ર 45 ફોર્મ રદ થયા છે. એટલે કે, ગત ચૂંટણી કરતા આ વખતે ફોર્મ રદ થવાની સંખ્યામાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. વર્ષ 2021માં જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક હતી. જેમાં સીમાંકન બાદ વર્ષ 2026માં સંખ્યા ઘટીને 34 થઈ છે. જોકે, બેઠકો ઘટવા છતાં મેદાનમાં રહેલા હરીફ ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં અંતિમ જંગમાં 97 ઉમેદવારો મેદાનમાં હતા. જ્યારે વર્ષ 2026માં આ સંખ્યા વધીને 107 પર પહોંચી છે. એટલે કે, હરીફ ઉમેદવારોની સંખ્યામાં 10 ટકાનો વધારો, સાબરકાંઠાની આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ એક પણ બેઠક બિનહરીફ થઈ નથી. તમામ 34 બેઠકો પર મતદાન થવાનું નિશ્ચિત છે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પર નજર કરીએ તો 2021માં માત્ર 3 ઉમેદવારોએ નામ પરત ખેંચ્યા હતા, જ્યારે 2026માં 8 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.ત્યારે 107 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જિલ્લાના મતદારો કરશે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:હિંમતનગરના ઇલોલની સીમમાં ટ્રેક્ટર પલટી જતાં બે યુવકોનાં મોત
હિંમતનગરના ઇલોલ ગામની સીમમાં શુક્રવારની રાત્રે પૂરઝડપે જતું ટ્રેક્ટર વાંઘામાં પલટી ખાઈ જતાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓના મોત થયા હતા. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડુંગરપુર (રાજસ્થાન)ના વતની પ્રતાપભાઈ ધુળાભાઈ અહારીનો પુત્ર બાપુભાઈ અને તેનો સાથી હરીશભાઈ ડેડુણ શુક્રવારની સાંજે ટ્રેક્ટર નંબર GJ-13-AH-2012માં સવાર થઈને હિંમતનગર તરફ નીકળ્યા હતા. ટ્રેક્ટર પ્રવીણ નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. રાત્રિના અંધારામાં ઇલોલ ગામની સીમમાં ચાલકે ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તાની બાજુમાં આવેલી કોતરમાં પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાપુભાઈ અને હરીશભાઈ બંને ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. શનિવારની સવારે જ્યારે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાપુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હરીશભાઈને ગંભીર હાલતમાં 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક પ્રવીણ સ્થળ પરથી પોલીસને જાણ કર્યા વગર ભાગી છૂટ્યો હતો. મૃતક બાપુભાઈના પિતા પ્રતાપભાઈએ આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કમનસીબ મૃતકો
બાઇક ચોર ઝડપાયો:ઇડરમાંથી બે બાઇકની ચોરી કરનાર વેડાનો શખ્સ પકડાયો
ઇડરમાંથી બે બાઇકની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઇડર પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શખ્સ બાઇક નંબર GJ-09-DL-7880 લઈને ચાંડપ ગામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સાબલવાડ ગામના રોડ પર વોચ ગોઠવી હતી. સુરપુર ગામ તરફથી આવતી શંકાસ્પદ બાઇકને અટકાવી તપાસ કરતાં તે ચોરીની હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કાળુભાઈ અમરતભાઈ દેવીપૂજક (42) રહે. ગંભીરપુરા, તા. ઇડર,(મૂળ રહે.વેડા, તા. વડાલી) ની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ બાઇક તેણે ઇડરના દામોદર કોમ્પ્લેક્સ પાસેથી ચોરી કરી હતી..તેણે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ ઇડર-જવાનપુરા રોડ પર આવેલ આદિનાથ મેડિકલ સ્ટોર પાસેથી અન્ય એક બાઇકની ચોરી કરી હતી.
અરવલ્લી સાબરકાંઠા જિલ્લા ઓલ ઇન્ડિયા બીએસએનએલ અને એમટીએનએલના નિવૃત્ત કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્ને હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. કર્મચારી સંગઠને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું તથા નવા પગાર ધોરણના અમલીકરણ સહિતની પડતર માગણીના પ્રશ્નો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઓલ ઇન્ડિયા બીએસએનએલ અને એમટીએનએલના નિવૃત્ત કર્મચારીઓના સંગઠને આઈબી ડીપીએના હેડ કવાર્ટર દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત સર્કલના સેક્રેટરી મનુભાઈ ચનીયારા અને પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા અપીલ કરાઇ છે. તે મુજબ પેન્શનરોને મળવા પાત્ર મોંઘવારી ભથ્થું તથા તા. 1.1.2017થી નવા પગાર ધોરણ અમલીકરણ સહિતની પડતર માગણીઓ અંગે હિંમતનગરમાં જીએમટીડી ઓફિસ બહાર નિવૃત્ત કર્મચારીઓ દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર કરાયા હતા. જેમાં એઆઈબીડીપીએ સંગઠન રાજ્યના ઉપપ્રમુખ વિજેશકુમાર પંડ્યા, માલપુર તથા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ગુણવંતલાલ રામી સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ગણપતસિંહ ચૌહાણ, ખજાનચી એ.આઇ. શેખ, એચ.કે. સિસોદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ હાજર રહી પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
SOGની ટીમ દ્વારા કાર્યવાહી:ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી અંતે પકડાયો
દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા પામેલ શખસ તે બાદ ફરાર થઇ જતાં એસઓજીએ બાતમીના આધારે તેને ટાટા કંપનીના ગેઇટ પાસેથી પકડી પાડી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ વી.એ.રાણાની રાહબારી અને નેતૃત્વ હેઠળ પી.એસ.આઈ વાળા સ્ટાફના માણસો જરૂરી વર્કઆઉટમાં હોય તે દરમ્યાન સ્ટાફના એ.એસ.આઈ અશોકભાઈ સવાણી તથા પો.હેડ.કોન્સ. હરદાસભાઈ મોવરને ચોકસ માહિતી મળેલ હતી. કોર્ટ ઓખા મંડળના સજા વોરંટ મીઠાપુર પો.સ્ટે. ખાતે ઇસ્યુ કરવામાં આવેલ હોય જેમાં સજા વોરંટના આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ આરોપી ગોપાલ સૂકા હાથીયા નામના શખ્સને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂ.4,10,000 દંડ અને દંડ ના ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફરમાવેલ હોય અને ઉપરોક્ત આરોપીનું સજા વોરંટ ઇસ્યુ થયેલ હતો . જે અનુસંધાને સજા વોરંટના આરોપી ગોપાલ સૂકા હાથીયા પોતે ટાટા કંપનીના ગેઇટ સામે રોડ પર આવતો હોવાની હકીકતના આધારે ટાટા કંપનીના ગેઇટ પાસે રોડ પરથી સજા વોરંટના ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મીઠાપુર પોલીસને સોંપી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર વિશેષ ચંદન વાઘાનો શૃંગાર કરાયો હતો. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ઠાકોરજીને પરંપરાગત વસ્ત્રોની જગ્યાએ ચંદનથી બનેલા શીતળ વાઘા પરિધાન કરાયા હતાં. જગતમંદિરમાં દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે જ ચંદન વાઘાના દર્શનનો વિશેષ મહિમા રહે છે. આ અવસરથી શ્રીજીમાં પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ થાય છે, જે સતત બે માસ સુધી વૈશાખ સુદ-3 થી અષાઢ સુદ-1 સુધી યથાવત્ રહેશે. આ દરમિયાન દરરોજ ભગવાનને વિવિધ પ્રકારના સુગંધિત ફૂલો દ્વારા અલંકૃત કરવામાં આવશે, જે મંદિરની ભક્તિમય વાતાવરણને વધુ ભવ્ય બનાવશે. ભગવાનને શીતળતા આપવા માટે પરંપરાગત પદ્ધતિથી ચંદન વાઘાનો શૃંગાર કરવામાં આવે છે. પુજારી પરિવાર દ્વારા કરવામાં આવતો આ શૃંગાર ભક્તિ અને પરંપરાનો અનોખો સંયોગ રજૂ કરે છે. જગતમંદિરના પુજારી પ્રણવભાઈ પુજારીના જણાવ્યા મુજબ, આ દિવસે ભગવાનને ઠંડક આપતા ભોગ અર્પણ કરવામાં આવે છે. જેમાં મુરબ્બા, કેરીથી બનેલા વ્યંજન, ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ અને ચણાની મીઠી દાળ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ ભોગ ભગવાનને ગરમીથી રાહત આપે છે.
મંડે પોઝિટીવ:લખનઉથી 1000 લોકો ટ્રેનમાં સોમનાથ પહોંચશે, ત્રણ દિવસ ઇતિહાસ જાણશે
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત લખનઉથી સ્પેશ્યલ ટ્રેન નીકળશે,1000 લોકો સોમનાથ મંદિરના ઇતિહાસની જાણકારી લેશે. ત્રણ દિવસ યાત્રિકો સોમનાથ મંદિર અને આસપાસ મંદિરની મુલાકાત લઈ ચોથા દિવસે રવાના થશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આક્રમણકારીઓએ આક્રમણ કર્યું હતું તેને 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે અને આજે પણ આસ્થાનું પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ લખનઉથી 1 હજાર શ્રદ્ધાળુઓ સોમનાથ આવવા માટે રવાના થશે તેઓ તા.21 ના રોજ વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચશે અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર અને આસપાસના મંદિરો તેમજ આપણી ધરોહર નિહાળી ધન્ય બનશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજરોજ ઉત્તરપ્રદેશના લખનઉથી 1000 યાત્રિકો સાથેની સ્પેશ્યલ ટ્રેન સોમનાથ આવવા રવાના થશે જે તા.21 ના રોજ વહેલી સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. જ્યાંથી તમામ યાત્રિકો સોમનાથ જવા રવાના થશે અને ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની માહિતી મેળવશે. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. દિલ્હીથી પણ સ્પેશિયલ ટ્રેન નીકળશેદિલ્હીથી પણ આગામી 30 એપ્રિલે સ્પેશ્યલ ટ્રેન સોમનાથ આવવા નીકળશે.ત્યારબાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મેં મહિનામાં અને હરિયાણાથી જૂન મહિનામાં ટ્રેન નીકળશે જે સોમનાથ મહાદેવના હજારો યાત્રિકોને દર્શન કરાવશે.
મોડાસા પાસેના સાકરીયાના પ્રસિદ્ધ સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મહારાજના નવીન મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.22 થી 24 દરમિયાન ઉજવાશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહીને યજ્ઞશાળા ખૂલ્લી મૂકવાના હોવાનું પ્રમુખ હેમંતભાઈ પટેલ અને મંત્રી વૈભવ રાઠોડે જણાવ્યું હતું. રાજસ્થાનના કિંમતી પથ્થરમાંથી તૈયાર થયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ટ્રસ્ટ સત્તાવાળાઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં મંદિરનો જીર્ણોદ્ધાર, મારૂતિયાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, 11 કુંડી મહાયજ્ઞ, શાસ્ત્રીજી પુરાણીઓ દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર યોજાનાર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ત્રિ દિવસીય કાર્યક્રમ દરમિયાન સુંદરકાંડ સત્સંગ પ્રવચન અને લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.
લ્યો બોલો:ખેડા તા. સેવા સદનમાં દિવાલમાંથી પાણી ઝમતાં ડસ્ટમીન મૂકવાની નોબત આવી
ખેડા તાલુકા સેવા સદનમાં છેલ્લા કેટલાક દિવસથી દિવાલમાં પાણીનું ઝમણ થઈ રહ્યું છે. પાણી ઝમણ થઈને નીચે પડતું હોવાથી પાણીનો રેલો રોકવા માટે કચેરીમાં 3 જેટલા ડસ્ટમીન મૂકવામાં આવ્યા છે. 13 કરોડ રૂપિયાના ખર્ચે 2021 માં તાલુકા સેવા સદન કચેરી શરૂ કરવામાં આવી હતી. ખેડા તાલુકા સેવા સદનના પ્રથમ માળે આવેલી વચ્ચેની દિવાલમાંથી પાણી ઝમણ થતા ખેડા મામલતદાર દ્વારા માર્ગ મકાન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ખેડા માર્ગ મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તાલુકા સેવા સદન ખાતે બે દિવસ પહેલા સ્થળ તપાસ કરવામાં આવી છે, જેમાં દિવાલમાં કોઈ પાઇપલાઇન લીકેજ થઈ હોવાનું હાલ જણાઈ આવે છે. જેથી પ્રથમ માળનું ફ્લોરિંગ ખોલીને જોવું પડે તો જ ખ્યાલ આવે કે પાણીનું જમણ ક્યાંથી થાય છે. શૌચાલયના સાફ-સફાઈ દરમિયાન કોઈ પાઇપ લાઈનમાં કચરો ભરાઈ જવાથી પાણીનો નિકાલ આગળ ન થવાથી પાઇપ લાઇન ચોકઅપ થઈ જવાથી પાણીનું જમણ થઈ શકે છે.
પ્રકૃતિ પૂજા:ડાંગમાં આદિવાસી સમાજે પરંપરાગત રીતે અખાત્રીજ સાથે નવા વર્ષના વધામણાં કર્યા
સમગ્ર દેશમાં જ્યારે અખાત્રીજની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાંગ સહિતના આદિવાસી પટ્ટામાં આ દિવસનું એક અનોખું મહત્વ જોવા મળ્યું છે. આદિવાસી સંસ્કૃતિ મુજબ અખાત્રીજને 'નવા વર્ષ' તરીકે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પ્રકૃતિને જ પરમેશ્વર માનતો આદિવાસી સમાજ ઋતુચક્ર મુજબના આ પ્રથમ તહેવારને પૂર્વજોની પૂજા અને પ્રકૃતિના સંકેતો સાથે ઉજવે છે. અખાત્રીજના પવિત્ર દિવસે આદિવાસી પરિવારોએ વહેલી સવારથી જ પોતાના 'ખત્રી' (પૂર્વજો) ના સ્થાનકો પર જઈ પૂજન-અર્ચના કરી હતી. આ દિવસે આદિવાસી રીત-રિવાજ મુજબ દાળ, ભાત અને માછલી જેવી મનપસંદ વાનગીઓનો નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો. ખાસ કરીને નાના બાળકોને ખાખરાના પાન પર જમાડીને પિતૃઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. નવા વર્ષના આગમન સાથે પ્રકૃતિમાં પણ અદભૂત પરિવર્તન જોવા મળી રહ્યું છે. આદિવાસી લોકવાયકા મુજબ, અખાત્રીજ આવતા જ ઘણા વન્ય જીવો પોતાની રૂવાંટી અને રંગ બદલે છે. પક્ષીઓ જૂના પીંછા ત્યજી નવા પીંછા ધારણ કરે છે અને મધુર અવાજો સાથે નવા વર્ષને આવકારે છે. પ્રકૃતિના આ બદલાતા મિજાજને આદિવાસીઓ આવનારા સારા સમયના સંકેત તરીકે જુએ છે. આદિવાસી ખેડૂતો માટે અખાત્રીજ એ આગામી ખેતીના વર્ષનો પાયો છે. જંગલમાં વૃક્ષો પર આવતા ફળ અને ફૂલોની સ્થિતિ જોઈને વડીલો દ્વારા વરસાદ કેવો રહેશે અને ખેતરમાં નાગલી, વરાય, અડદ તથા ડાંગરનો પાક કેવો ઉતરશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. બાપદાદાની મૂડી એટલે આપણી ખેતીઆ પરંપરાગત કહેવતને સાર્થક કરતા આદિવાસી ભાઈઓએ ખેતીના સાધનોનું પૂજન કરી નવા વર્ષના શ્રીગણેશ કર્યા હતા. અખાત્રીજનો આ મહિનો ઘરની પૂજન વિધિ અને અન્ય શુભ કાર્યો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવતો હોવાથી ઠેર-ઠેર મંગળકારી માહોલ જોવા મળ્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:જનતાનો સૂર: પ્રોજેક્ટ એરિયામાંથી મુક્તિ
તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના હજારો રહીશો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માત્ર સપનું સાબિત થઈ રહી છે. 6 મહિના અગાઉ જ્યારે ઉકાઈને નવો તાલુકો જાહેર કરાયો ત્યારે 10,000 થી વધુની જનતામાં ઉમંગ હતો કે હવે વહીવટી માળખું બદલાશે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી છે. ઉકાઈ વિસ્તાર આજે પણ સિંચાઈ વિભાગના પ્રોજેક્ટ એરિયા તરીકે નોંધાયેલો હોવાથી અહીંના નાગરિકોને લોકશાહીના પાયાના અધિકારોથી વંચિત છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ છે, ત્યારે ઉકાઈની સ્થિતિ દીવા તળે અંધારા જેવી છે. પ્રોજેક્ટ વિસ્તાર હોવાને કારણે અહીં પંચાયતી રાજના કાયદા લાગુ પડતા નથી. તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ છે, પણ ત્યાંના જ રહીશો સિસ્ટમની બહાર છે. રોડ, રસ્તા કે અન્ય નાગરિક સુવિધાઓ માટે જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિને બદલે સિંચાઈ વિભાગના અધિકારીઓ પર નિર્ભર રહેવું પડે છે. પ્રોજેક્ટ એરિયાનું અંતરાઇ : ઉકાઇ પ્રોજેક્ટ વિસ્તાર હોવાથી અહીં પંચાયતી રાજનું માળખું અમલી ન હોવાથી, વસ્તી હોવા છતાં તેને ગ્રામ પંચાયત કે નગરપાલિકાનો દરજ્જો મળતો નથી. જ્યાં સુધી કોઈ વિસ્તાર ગ્રામ પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશન હેઠળ ન આવે, ત્યાં સુધી ત્યાંના રહીશો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (તાલુકા કે જિલ્લા પંચાયતમાં) મતાધિકાર ધરાવતા નથી કે ઉમેદવારી નોંધાવી શકતા નથી. ભવિષ્યની ચિંતામાં વર્તમાન પર સંકટસરકાર પાસે વર્ષોથી આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ સિંચાઈ વિભાગ આ જમીન મુક્ત કરવા કે મહેસૂલ વિભાગને સોંપવા તૈયાર નથી. ઉકાઈ ડેમ હોવાથી ભવિષ્યમાં સરકારને કે સિંચાઈ વિભાગને કોઈ જગ્યાની જરૂર પડે તો તે આ જમીનનો ઉપયોગ કરી શકે તેવી મંશા વહીવટી તંત્ર રાખી રહી છે. જેના કારણે 10 હજારથી વધુ લોકોના લોકતાંત્રિક અધિકારોથી વંચિત રહ્યા છે. 60 વર્ષથી રહીએ છીએ પણ વોટ આપી શકતા નથીમારો પરિવાર 60 વર્ષથી અહીં રહે છે. 6 મહિના પહેલા જ્યારે તાલુકો બન્યો ત્યારે આશા જાગી હતી કે હવે બધું બદલાશે, પણ કંઈ જ બદલાયું નથી. આજે પણ દરેક નાનકડા કામ માટે સિંચાઈ વિભાગ પાસે હાથ ફેલાવવો પડે છે. જો ઉકાઈને પ્રોજેક્ટ વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવે તો જ સાચો વિકાસ થાય અને અમે પણ લોકશાહીમાં ભાગીદાર બની શકીએ. જનતાનો સૂર: પ્રોજેક્ટ એરિયામાંથી મુક્તિ વર્કશોપ બજાર, 500 ક્વાર્ટર કોલોની, પાથરડા બજાર અને સેક્ટર-1, 2 સહિતના વિસ્તારોના જાગૃત નાગરિકો હવે એક સૂરે માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. 10 હજારથી વધુની વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખી ઉકાઈને તાકીદે નગરપાલિકાનો દરજ્જો આપવો જોઈએ.
વ્યારા શહેરમાં આવેલ ઇન્દુ આઈ.ટી.આઈ નજીકનું બસ સ્ટેન્ડ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું છે, જેના કારણે દરરોજ અવરજવર કરતા 700 થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઈવે પર આવેલ આ બસ સ્ટેન્ડ લાંબા સમયથી મરામત વગર પડ્યું રહેતાં તેની હાલત ખરાબ બની ગઈ છે. બસ સ્ટેન્ડના શેડ ઉપર ઘાસ ઉગી જવાથી તેની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ઊભા રહીને બસની રાહ જોવી પડે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં અને વરસાદી મોસમમાં વિદ્યાર્થીઓ માટે વધુ તકલીફ ઉભી થાય છે. સાથે જ અહીં લાઈટની પણ પૂરતી સુવિધા નથી, જેના કારણે વહેલી સવાર અને સાંજના સમયે વિદ્યાર્થીઓને અંધારામાં ઉભા રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં અકસ્માત અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓનો ભય પણ રહે છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેને લઇ વિદ્યાર્થીઓંમાં રોષ ફેલાયો છે.
તાપી જિલ્લામાં રોકડિયા આવકનો ઉત્સવ શરૂ:આદિવાસી પરિવારો માટે ATM સમાન બન્યો મહુડો
તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વ્યારાના ગાઢ જંગલોમાં હાલ મહુડાના ફૂલની મીઠી સુગંધ પ્રસરી રહી છે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીની આ સીઝન સ્થાનિક આદિવાસીઓ માટે માત્ર તહેવાર નથી, પણ રોકડિયા આવકનો ઉત્સવ છે. મહુડાનું એક પુખ્ત વૃક્ષ સીઝનમાં સરેરાશ 50 થી 60 કિલો ફૂલ આપે છે. તાપી જિલ્લામાં દર વર્ષે અંદાજે 4,000 ટનથી વધુ જથ્થો એકત્ર કરવામાં આવે છે. એક સામાન્ય પરિવાર સીઝન દરમિયાન મહુડાના ફૂલ અને ડોળી વીણીને ₹10,000 થી ₹20,000ની પૂરક આવક મેળવે છે. મહુડાના ફૂલ કુદરતી રીતે જ કેલ્શિયમ, આયર્ન અને વિટામિનથી ભરપૂર છે. તેમાંથી બનતી પ્રોડક્ટ્સમાં પૌષ્ટિક લાડુ અને બિસ્કિટ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે ઉત્તમ. હર્બલ ટી અને જામ શહેરી વિસ્તારોમાં ડાયેટ ફૂડ તરીકે માંગ વધી રહી છે. સુરત અને મુંબઈ જેવા મેટ્રો સિટીમાં આ ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ભારે માંગ નીકળતા સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળી રહી છે. રસોડાથી લઈને પશુના આહાર સુધી ઉપયોગીફૂલ ખરી ગયા બાદ આવતું ફળ ડોળી પણ સોના સમાન કિંમતી છે. તેલ ડોળીના બીજમાંથી નીકળતું શુદ્ધ તેલ આજે પણ અંતરિયાળ ગામોમાં રસોઈ અને સાબુ બનાવવા માટે વપરાય છે. તેલ કાઢ્યા બાદ વધતો કચરો (ખોળ) પશુઓ માટે અત્યંત પૌષ્ટિક આહાર ગણાય છે. આદિવાસી પરિવારો માટે ઉપયોગિતાના 4 મુખ્ય ફાયદા જો સરકાર દ્વારા આ વિસ્તારમાં મોટા પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવામાં આવે, તો તાપી જિલ્લાનો મહુડો આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ બની શકે છે. - છગનભાઇ ગામીત, હીરાવાડી, સ્થાનિક અગ્રણી
ખબરની અસર:વ્યારા APMCમાં પ્રર્વતેલી ગંદકીની તાત્કાલિક સફાઈ, હજારો લોકોને રાહત
વ્યારા નગરની વચ્ચે આવેલ એપીએમસી માર્કેટમાં દિવસ પર ખરીદ વેચાણ માટે આવતા વેપારીઓ, મહિલા પુરુષ ખેડૂતો ને શૌચાલયમાં ગંદકીને લઈને ભારે મુશ્કેલી પડી રહી હતી જે અંગે દિવ્યભાસ્કર અખબારમાં સહ તસવીર અહેવાલ પ્રસિદ્ધ હતા એપીએમસી માર્કેટ દ્વારા તાત્કાલિક સાફ-સફાઈ કરાવી લોકોને પડતી દૂર કરાવી હતી. વ્યારા એપીએમસી ની સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા શૌચાલય તેમજ આસપાસના વિસ્તારોમાં જમા થયેલી ગંદકી દૂર કરવામાં આવી હતી. સાથે જ પાણીની વ્યવસ્થા સુધારવા અને તૂટેલી સુવિધાઓને ઠીક કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. અનેક દિવસોથી ગંદકીના કારણે મુશ્કેલી અનુભવી રહેલા ખેડૂત અને વેપારીઓએ આ કામગીરીને લઈ રાહતનો અનુભવ કર્યો છે.સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સફાઈનો અભાવ હતો, પરંતુ અખબારના અહેવાલ બાદ તંત્રએ ગંભીરતા દાખવી છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું કે જો આવું મોનિટરિંગ સતત રહે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. મહિલાઓ માટેના શૌચાલયમાં પણ ખાસ સફાઈ કરવામાં આવી છે, જેના કારણે મહિલાઓને પણ થોડો આરામ મળ્યો છે. તેમ છતાં, લોકોનું માનવું છે કે માત્ર એક વખતની સફાઈ પૂરતી નથી, પરંતુ નિયમિત રીતે જાળવણી જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે APMC તંત્ર આ સફાઈને નિયમિત રાખે છે કે નહીં, જેથી ભવિષ્યમાં ફરી આવી પરિસ્થિતિ ઊભી ન થાય. અને અહી આવતા હજારો લોકોને એક સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ મળી શકે.
ભાસ્કર યુટિલિટી:આરટીઈ પ્રવેશ પ્રક્રિયા, પ્રથમ રાઉન્ડ 4 મેનાં રોજ જાહેર થશે
ગુજરાતમાં ખાનગી પ્રા. શાળાઓમાં ધોરણ 1માં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તારીખ 4 મેના રોજ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન ફોર્મ 23 એપ્રિલ સુધી ભરી શકાશે અને જિલ્લાકક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરીને મંજૂર કે ના મંજૂર કરવા માટેનો સમયગાળો 25 એપ્રિલ સુધીનો રહેશે. માત્ર અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક માટેનો સમયગાળો 27 થી 29 એપ્રિલ ત્રણ દિવસ રહેશે. માત્ર અમાન્ય થયેલી પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોય તેવા ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી 27 થી 30 એપ્રિલ સુધીમાં થશે બાદમાં તારીખ 4 મે ના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે.
નમસ્તે, તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થવાને કારણે 23 લોકોના મોત થયા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 2. બિહારમાં ભાજપ વિપક્ષ વિરુદ્ધ આક્રોશ માર્ચ કાઢશે. લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થવા બદલ પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે. 3. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) ને લઈને વોશિંગ્ટનમાં વાતચીત થશે. કાલના મોટા સમાચારો 1. ઈરાન પોતાનું ડેલિગેશન પાકિસ્તાન નહીં મોકલે:ટ્રમ્પની ચેતવણી- ઈરાન પાસે આ છેલ્લી તક; સમજૂતી પર સહી ન કરી તો ઈરાન તબાહ કરી દઈશ ઈરાની સૂત્રોએ સીએનએનને જણાવ્યું હતું કે સોમવારે ઇસ્લામાબાદમાં યુએસ-ઈરાની શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાવાની અપેક્ષા છે. જ્યારે વોશિંગ્ટને વાટાઘાટોની પુષ્ટિ કરી નથી, ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેહરાન તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને છોડી દેવા માટે સંમત થયું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કરાર થઈ શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને રવિવારે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના પરમાણુ અધિકારોને પ્રતિબંધિત કરવાનો કોઈ અધિકાર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 23નાં મોત:13 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; 30 મજૂરો કામ કરી રહ્યા હતા તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં રવિવારે વિસ્ફોટ થયો. ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. 13 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલમાં વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મમતાએ કહ્યું- PMએ રાષ્ટ્રને સંબોધનમાં પ્રચાર કર્યો:ચૂંટણી પંચને ફરિયાદ કરીશ; મોદીએ કહ્યું - અનામતનો વિરોધ કરનારાઓને મતથી સજા આપો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર રાજકીય પ્રચાર માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. હુગલી જિલ્લાના તારકેશ્વરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે મોદીએ મહિલા અનામત બિલ અંગે રાષ્ટ્રને કરેલા સંબોધનનો ઉપયોગ ભાજપને પ્રોત્સાહન આપવા માટે કર્યો. અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું. આ દરમિયાન, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું, તૃણમૂલ કોંગ્રેસ સરકારે બંગાળની દીકરીઓ સાથે દગો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ ચોક્કસપણે તેમને આ માટે સજા આપશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'ધુરંધર 2'એ ‘પુષ્પા 2'ને ઝૂકાવી!:ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની, વિશ્વભરની કમાણીનો આંકડો ₹1748.91 કરોડ પહોંચ્યો ‘ધુરંધર 2’ વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. ફિલ્મે વિશ્વભરમાં 1,748.91 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે 1,742.10 કરોડ રૂપિયા કમાવનાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ને પાછળ છોડી દીધી. હવે તે માત્ર દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ)થી પાછળ છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રિલીઝના 31મા દિવસે ભારતમાં 4.65 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મનું કુલ ભારત નેટ કલેક્શન હવે 1,110.47 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,329.31 કરોડ રૂપિયા થઈ ગયું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં પારો 45C પહોંચ્યો:MPના રતલામ-ઉમરિયા દેશના 10 સૌથી ગરમ શહેરોમાં સામેલ; રાંચીના પ્રાણી સંગ્રહાલયમાં કુલર લગાવવામાં આવ્યા દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમીની અસર ચાલુ છે. રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઘણા શહેરોમાં શુક્રવારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું. છત્તીસગઢના રાજનાંદગાંવ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન સૌથી વધુ 45C નોંધાયું. બંને શહેરો શુક્રવારે દેશના સૌથી ગરમ શહેરો રહ્યા. ટોપ-10 સૌથી ગરમ શહેરોમાં મધ્ય પ્રદેશના રતલામ અને ઉમરિયા પણ સામેલ રહ્યા. રતલામમાં 44C અને ઉમરિયામાં 43.8C તાપમાન રહ્યું. ગરમીના કારણે 13 જિલ્લાઓમાં શાળાઓનો સમય બદલી દેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:40.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદમાં ગરમીનો પારો 40 પર પહોંચ્યો રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું. રાજકોટમાં 40.9 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી નોંધાયું. તો બીજી તરફ સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા':ભાજપના પૂર્વ MP હરિ પટેલનો બફાટ, કોંગ્રેસના પ્રગતિ આહીરનો જવાબ-તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા:પહેલી પૂજા PMના નામની થઈ, ભક્તોની ભારે ભીડ; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇટલીમાં 2 શીખોની ગોળી મારીને હત્યા:કારમાં આવેલા હુમલાખોરોએ કર્યુ ફાયરિંગ, ગુરુદ્વારાની બહાર 10 ગોળીઓ મારી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પિતાએ ટ્વિન્સ દીકરીઓનું ગળું રહેંસી પોલીસને કોલ કર્યો:આખા રૂમમાં ‘રિદ્ધિ-સિદ્ધિ’નું લોહી ફેલાયું; શંકાશીલ પતિએ ઘરમાં CCTV કેમેરા ગોઠવેલા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેલોનીને બથ ભરીને બે કિસ કરી લીધી:રેડ સૂટમાં જોઈને મેક્રોને કંટ્રોલ ગુમાવ્યો, મેલોની ઘડીક તો ગભરાઈ ગયાં; ફ્રાન્સના રાષ્ટ્રપતિની હરકતનો વીડિયો વાયરલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આજે તેજી સાથે ખુલી શકે છે બજાર:ગિફ્ટ નિફ્ટી 250 અંક વધ્યો; ઈરાન-અમેરિકા તણાવ સહિત 5 પરિબળો ચાલ નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોલકાતા આ સીઝનમાં પહેલી મેચ જીતી:રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું; રિંકુ સિંહે ફિફ્ટી ફટકારીને KKRને જીતાડ્યું, વરુણ-કાર્તિકને 3-3 વિકેટ મળી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:કર્ક અને સિંહ રાશિને નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે; વૃષભ, ધન અને વૃશ્ચિક રાશિને પ્રોપર્ટી સંબંધિત લાભના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર અજબ ગજબ ચોરો ચોરી માટે મકાન માલિક પર ભડક્યા ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચોરી કરતા પકડાયા બાદ ચોરોએ મકાનમાલિકને ઠપકો આપ્યો. તેઓએ એક બંધ ઘરમાંથી ₹40 લાખના દાગીના ચોરી લીધા હતા. તેઓ એક નાનું તાળું તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. દાગીના વેચવાનો પ્રયાસ કરતી વખતે તેઓ પકડાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ચોરો મકાનમાલિકને ઠપકો આપ્યો, પૂછ્યું કે ઘરને તાળું કેમ નથી માર્યું? ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ: ‘હું આસારામ બાપુનો ફિદાયીન છું, બધા વિરોધીઓને ખતમ કરી નાખીશ’: પૈસા ભેગા કરીને AK-47 ખરીદનારો ‘સાધક’ પકડાયો, 9 સાક્ષી પર ગોળીબાર થયો, જુઓ 41 એપિસોડ એકસાથે 2. આજનું એક્સપ્લેનર:શું છે ઈરાનની 'મચ્છર ફ્લીટ', જેણે 2 ભારતીય જહાજો પર ગોળીઓ છોડી; નેતાઓનું કેમ સાંભળતી નથી ઈરાની સેના? 3. સન્ડે બિગ સ્ટોરી : ગુજરાતના કયા વિસ્તારમાં મેઘો ઓછો વરસશે?:એક્સપર્ટે પાછોતરા વરસાદ વિશે ચિંતાજનક આગાહી કરી, કહ્યું- ચોમાસાના દિવસો ઘટ્યા 4. ખાખી કવર : ટીવી શૉમાં દીકરીએ ટ્રિપલ મર્ડરનો ભેદ ખોલ્યો:એક રાક્ષસે સગીરાને પીંખી, દીકરીનું જાતીય શોષણ કર્યું, ત્રણ હત્યાઓ કરીને ઘરની પાછળ દાટી દીધી 5. MATCH મસાલા : દુબે બન્યો કાળા જાદુનો શિકાર!:ફેન્સે જાડેજાને CSKનો સવાલ પુછ્યો, બાપુ બગડ્યા; ચહલે ‘CUTE’ મોડેલ પર માનહાનીનો દાવો કર્યો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ-કન્યા રાશિના જાતકોનું કરિયર સૂર્યની માફક ચમકશે વાંચો સંપૂર્ણ રાશિફળ

28 C