અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, જેસિંગપરાની શેરી નંબર 5 માં પાર્ક કરેલી વેનમાં ફ્યુઅલ ટેન્ક સાથે ગેસનો બાટલો ફાટવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વાહનની અંદર એસિડ અને ફિનાઈલ જેવી જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની કુશળ કામગીરીને કારણે વાતાવરણમાં એસિડ ફેલાય તે પહેલાં જ આગને નિયંત્રિત કરવામાં આવી હતી. આગ બાજુના રહેણાંક મકાનો સુધી ન પ્રસરે તે માટે પણ અસરકારક પગલાં લેવાયા હતા, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. સદભાગ્યે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ જણાવ્યું કે, સિલિન્ડર બ્લાસ્ટનો કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાન ગાડીમાં ફ્યુઅલ ટેન્ક બ્લાસ્ટ થવાથી ત્રણ લોકો દાઝી ગયા હતા, જેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ગાડીની અંદર એસિડ અને ફિનાઈલ જેવી સામગ્રી હતી, જેના કારણે થોડીવાર વાતાવરણમાં ગળતર જેવું અનુભવાયું હતું. પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને આગ સંપૂર્ણપણે નિયંત્રિત કરી લેવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેર પોલીસ વિભાગમાં મોટી આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓમાં કુલ 9 પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં કેટલાકને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તો કેટલાકને વિશેષ એકમોમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા 9 PI તથા PCB અને SOGમાંથી 11 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તથા એએસઆઇ મળીને પોલીસકર્મીઓની આંતરિક બદલી માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇને ઘણા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર પોલીસ વિભાગમાં ઘણા સમયથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા કર્મચારીઓના સમયાંતરે બદલીના હુકમ કરવામાં આવતા હોય છે ત્યારે પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓના સિલસીલો તો ચાલતો રહેતો હોય છે ત્યારે ફરીવાર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા 9 જેટલા પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. બીજી તરફ તાજેતરમાં જ એસઓજીનો ASI કર્મચારી ડ્રગ્સમાં ઝડપાયો હતો. જેને લઇને અગાઉ પીઆઇ એસ ડી રાતડાની પણ લીવ રીઝર્વમાં બદલી કરી દેવાઇ હતી. સાસાથે હવે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા અતિ મહત્વની કહેવાતી એસઓજી તથા પીસીબીમાંથી પણ 11 જેટલા હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની બદલી કરીને પીસીબી તથા એસઓજીમાંથી વિવિધ જગ્યા પર મુકી દેવામાં આવ્યાં છે. જેને લઇને કેટલાક કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
રાજકોટના ઢેબર રોડ પર આવેલ બસપોર્ટ ખાતે રીક્ષા ચાલકે એકલી સગીરાને જોઈ બેટા કહીં શરીરે અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકના રહેવાસીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર નામના શખ્સનું નામ આપતાં એ ડિવિઝન પોલીસે પોકસો તેમજ જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીનો ફોન આવ્યો અને કહ્યું કે,'હું રાજકોટ છું'ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 15 વર્ષની છે તે દીકરી ગોંડલ અભ્યાસ કરે છે. ગઇ તા.28ના રોજ ભત્રીજાના લગ્ન હોવાથી દીકરી ધરે આવી હતી. દરમિયાન ગત તા.10ના રોજ તે ધરે હાજર ન જોવા મળતા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે દીકરીનો ફોન આવ્યો અને કહ્યું કે, હું રાજકોટ છું તમે મને તેડી જાવ જેથી ફરિયાદી અને અન્ય લોકો દીકરીને લેવા રાજકોટ આવ્યા હતા ત્યારે દીકરીએ પિતાને વાત કરતા જણાવ્યું કે, મે મારા ફ્રેન્ડને રાજકોટ માધાપર ચોકડી ખાતે આવી ફોનથી વાત કરી આપણે બંને ભાગી જઇ તો તેણે મને ના પાડી અને મારે ઘરે ન આવવુ હોય અને નાનીના ઘરે નાસિક જવું હોય જેથી હું રીક્ષામાં બેસી અને રાત્રિના 8.45 વાગ્યા આસપાસ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે આવી હતી. આ પછી મોબાઇલનું ચાર્જર લેવા બહારના ભાગે ગઈ હતી ત્યાં એક દાઢી વાળો માણસ આવ્યો અને કહ્યું કે, બેન તમારે કયાં જવું છે ? જેથી તેને કહ્યું કે મારે ગોંડલ-નાસિકની બસમાં બેસી નાસિક જવું છે. તો આ માણસે કહ્યું કે, બસ હવે હશે કે નહી તું અહીંથી સુરત જતી રહે ત્યાંથી નાસિકની બસ મળી જશે. હું તથા અજાણ્યો માણસ બસ સ્ટેન્ડમાં ગયા હતાં, હું સુરત વાળી બસમાં ચડેલ તો બસ ખાલી ન હોય જેથી નીચે ઉતરી અને બાદમાં બીજી સુરતની બસ આવી તે પણ ખાલી ન હોય જેથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારે ફરીવાર આ અજાણ્યો માણસ આવી મારી પીઠ પાછળ વાસામાં હાથ ફેરવી અને કહ્યું કે, તું હજી અહીં કેમ ઉભી છો? તો મેં કહ્યું કે, બસ ફુલ છે તો તેણે કહ્યું કે હું તને લીમડા ચોક ખાતે લઇ જાવ અને ત્યાંથી તને બસ મળી જશે. લીમડા ચોક ગયા તો બે ત્રણ ટ્રાવેલ્સની ઓફિસમાં તપાસ કરતા બસ ફુલ હતી અને ચોથી ટ્રાવેલ્સની ઓફિસે ગયા ત્યાં એક સીંગલ સોફા સીટ ખાલી છે કહેતા મારી ટિકિટના તેણે રૂપીયા આપી અને મારા મોબાઇલ નંબર તેના ફોનમાં ફોન કરી અને ટિકિટમાં લખાવ્યા હતા અને તેનું નામ પુછતા તેણે તેનું નામ સિંકદર જણાવ્યું હતું. મારી ટિકિટ કન્ફોર્મ કરાવી અને કહ્યું કે રાત્રિના 11.45 વાગ્યાની બસ છે તેમ કહી મને તેની રીક્ષામાં બેસાડી હતી. મારા મોબાઇલમાં ચાર્જીંગ નથી કહેતા આ સિંકદરે મારો મોબાઇલ લઇ ટ્રાવેલ્સની ઓફિસમાં ચાર્જીંગમાં મુક્યો હતો અને બાદમાં તે રીક્ષામાં આવી તેની ડ્રાઇવર સીટમાં મારી બાજુ પગ રાખી અને બેસી ગયો હતો. ત્યારબાદ આ સિકંદર ચા લેવા ગયો અને ચા લાવી મને પરાણે ચા પીવડાવી હતી અને બાદમાં કહ્યું કે, તારે નાસ્તો કરવો છે અથવા જમવું હોય તો આપણે બંને હોટલમાં જમવા જઇએ તો તેને ના પાડી હતી. 'કામ ન હોત હું તને ડબલના સોફામાં બેસાડી નાસિક મુકી જાત'હું ટ્રાવેલ્સની ઓફિસમાં મારો ફોન ચાર્જીંગમાં હતો તે લેવા માટે ગઈ અને ફોનમાં ફ્રેન્ડ સાથે વાત કરતી હતી તો તેણે મને કહ્યું હું થોડીવારમાં તને ફોન કરું બાદ નાસિક રહેતા મામાને ફોન કરી કહ્યું કે, હું નાસિક આવું છું જેથી તેણે મને કહ્યું કે, તું ધ્યાન રાખજે અને મને ફોન કરતી રહેજે. બાદ સિકંદરે કહ્યું મારે સુરત જવાનું હતું અને મારે આજ કામ ન હોત હું તને ડબલના સોફામાં બેસાડી અને નાસિક મુકી જાત બાદમાં તેના ફ્રેન્ડનો ફોન આવ્યો અને તેની સાથે વાત કરી તે દરમિયાન સિકંદરની રીક્ષામાં બેઠી હતી તે વખતે મોટા બાપુના દીકરાને જોય ગયેલ જેથી સિકંદરને કહ્યું રીક્ષા તમો ભગાવો જેથી તેને રીક્ષા ચાલુ કરી રાજકોટ નવાગામ લઇ ગયેલ દરમ્યાન મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, તારૂં લોકેશન મોકલ તો તેને કહ્યું કે, મને ખબર નથી હું કયાં છું, જેથી ત્યાં કોઇ હાજર હોય તેને ફોન આપ કહેતા સિકંદરને ફોન આપ્યો હતો અને વાતચીત કરી મવડી ચોકડી પાસે ઉતારી જાવ કહેતા સિકંદરે તેની રીક્ષા વાળી અને કહ્યું કે તારે મારી ધરે આવવું છે તેમ કહેતા મેં તેને ના પાડી હતી. સિકંદરને સકંજામાં લઈ તેની સઘન પૂછતાછ શરૂ બાદમાં રીક્ષા ચાલુ કરી અને રસ્તામાં ઓવરબ્રિજ આવ્યો તે બ્રિજની ઉપરના ભાગે રીક્ષા ઉભી રાખી અને કહ્યું કે, મારે બાથરૂમ જવું છે કહી તે ગયો અને પરત આવી મારી પાસેની ટિકિટ હતી તે તેણે લઇ અને તેને તેના મોબાઇલ નંબર ડિલિટ કરાવી નાખ્યા હતાં. રીક્ષા ચાલુ કરી અને બાદમાં એક પેટ્રોલપંપ આવતા ત્યાં તેણે રીક્ષામાં ગેસ પુરાવ્યો અને ત્યાંથી રીક્ષા ચલાવી અને રસ્તામાં મને કહ્યું કે, તારે તારા ધરેથી ભાગવું હોય તો મારો સંપર્ક કરજે, આપણે બંને વચ્ચે બસ સ્ટેન્ડથી અહીં સુધી વાતચીત થઇ છે તે તારા ધરના સભ્યોને કહેતી નહી. રાવકી ગામ ખાતે રીક્ષા સાથે પહોંચતા દીકરીને ઉતારી ત્યાં હાજર પરિવારજનોને સોપી જતો રહ્યો હતો હાલ બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સિકંદરને સકંજામાં લઈ તેની સઘન પૂછતાછ શરૂ કરી છે.
ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે એક કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના 11 ફેબ્રુઆરીના રોજ સવારે સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના રિંછરોટા ગામના પરમાર ફળીયામાં રહેતા વિજય મનુભાઈ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગત 7 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેમના કાકાનો 22 વર્ષીય પુત્ર મહેન્દ્ર પરમાર ઘરેથી શૌચક્રિયા માટે જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો, જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ શોધખોળ દરમિયાન, 11 ફેબ્રુઆરીના રોજ સવારે ધાણીત્રા ગામે આવેલા એક ખેતરના કૂવામાંથી મહેન્દ્ર પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી જાણીતી La Pino'z Pizza આઉટલેટમાં ગંભીર લાપરવાહી સામે આવી છે. ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ મેક્સિકન પીઝામાંથી પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. રૂ. 10 હજારની પેનલ્ટી વસૂલવામાં આવીઉલ્લેખનીય છે કે આ લાપરવાહીમાં ગ્રાહકની દીકરીના મોઢામાં પ્લાસ્ટિકનો ટુકડો જાય તે પહેલા જ નજર પડતા બચી ગયો હતો. આ અંગેનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ VMCની ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લાપરવાહી સાબિત થતાં VMCએ આઉટલેટ સામે રૂ.10,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર બેદરકારી ન કરવા માટે કડક સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર ફૂડ સેફ્ટી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડનું સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયુંઆ અંગે વોર્ડ નંબર દસમા સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હરિઓમ પટેલે જણાવ્યું હતું કે, અમારા સિનિયર અધિકારી દ્વારા અમને સૂચના આપવામાં આવી હતી. ફૂડ અધિકારી સાથે સંકલન કરી અમારી ટીમ સાથે મળી કાર્યવાહી કરવામાં આવી છે. અમારી ટીમે અહીંયા ચેકિંગ કર્યું હતું અને ફરિયાદના આધારે અહીંયા રૂપિયા દસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનો જે ટુકડો નીકળ્યો હતો તે અંગે અમે કાર્યવાહી કરી છે. આ અંગે અમે ફૂડ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જેમાંથી પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યો હતો. આ અંગે પણ અમે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
મધ્ય પ્રદેશથી કાલુપુર રેલ્વે સ્ટેશન હેરોઈનનો જથ્થો સાથે આવેલા ગોવિંદ સૂર્યવંશી અને શેખ મોહંમદ ઈદ્રીશ અયુબ મીયાને NDPS કોર્ટે દોષિત ઠેરવીને 9 વર્ષની કેદ અને દરેક આરોપીને 1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યુ હતું કે, નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા વધી રહ્યા છે. જેના લીધે જાહેર જનતાનો એક વર્ગ ખાસ કરીને કિશોરો અને વિદ્યાર્થીઓમાં ડ્રગ્સનું વ્યસન જોવા મળી રહ્યું છે. ડ્રગ્સની આડ અસરની સમાજ ઉપર ઘાતક અસર પડી રહી છે ત્યારે આરોપીઓનું વ્યક્તિગત હિત નહીં પરંતુ જાહેર હિત, સમગ્ર સમાજ ઉપરની અસર ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડવા સજા કરવી ન્યાયના હિતમાં જરૂરી છે. NCBના અધિકારીઓએ 91 ગ્રામ હેરોઈન સાથે બેની ધરપકડNCBને માહિતી મળી હતી કે, મધ્ય પ્રદેશથી હેરોઈનના જથ્થા સાથે ગોવિંદ ધન્નાલાલ સૂર્યવંશી કાલુપુર રેલ્વે સ્ટેશન આવે છે અને દરિયાપુરમાં રહેતા શેખ મોહંમદ ઈદ્રીશ અયુબ મીયાને તે આપવાનો છે. જેના આધારે છટકું ગોઠવીને 08 મે, 2023ના રોજ કાલુપુરે રેલ્વે સ્ટેશન ગોવિંદ ધન્નાલાલ સૂર્યવંશી હેરોઈન શેખ મોહંમદ ઈદ્રીશ અયુબ મીયાને આપતા NCBએ ઝડપી લીધા હતા. NCBના અધિકારીઓએ 91 ગ્રામ હેરોઈન સાથે પકડાયેલા બન્નેની ધરપકડ કરી પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ ચાલતા NCBના ખાસ એડવોકેટ અખિલ દેસાઈએ ચાર સાક્ષી અને 44 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતુ કે, આરોપીઓ પાસેથી કોમર્શીયલ જથ્થો મળી આવ્યો છે. આરોપીઓ સામે ગુનાહિત કાવતરું પુરવાર થાય છે. આંતરરાજ્ય માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલો છે. જેથી સમાજમાં દાખલો બેસાડવા માટે મહત્તમ સજા ફટકારવી જોઈએ.
નવસારી જિલ્લામાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી સોનાના ઘરેણાંની લૂંટ ચલાવતી ગેંગ સક્રિય હતી. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ મામલે એક આરોપીને ચોરીના બાઇક અને સોનાની લગડી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહનચોરી અને ચેઈન સ્નેચિંગના ત્રણ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે તપાસ તેજ કરી હતી. PSI એમ.બી. ગામીત અને તેમની ટીમે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી. બાતમીના આધારે, કાલિયાવાડી અને ઉનાઈ વિસ્તારમાં લૂંટ ચલાવનાર ઈસમ ચોરીના બાઇક પર પલસાણાથી નવસારી તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પોલીસે ધોળાપીપળા હાઈવે પર વોચ ગોઠવી આરોપી અમિત રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી અમિત રાઠોડે કબૂલ્યું કે તે તેના મિત્ર દીપક દિવાકર (રહે. કડોદરા) ના કહેવા પર ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો હતો. દીપકે તેને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી સોનું લૂંટવા અને કમાણી અડધી વહેંચી લેવાની લાલચ આપી હતી. બંનેએ સૌપ્રથમ એક બાઇકની ચોરી કરી હતી. ત્યારબાદ, તેમણે નવસારીના કાલિયાવાડી, ઉનાઈ અને સુરતના સચિન વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹5,14,740/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 37 ગ્રામ સોનાની લગડી (કિંમત ₹4,44,000/-), બે મોબાઈલ ફોન (કિંમત ₹20,000/-), ₹740/- રોકડા અને ચોરીનું હોન્ડા શાઇન મોટરસાયકલ (કિંમત ₹50,000/-) નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીનું નામ અમિતકુમાર રામકેશ ઉર્ફે રામનરેશ રાઠોડ (ઉંમર 33, રહે. જોલવા, મૂળ ઉત્તર પ્રદેશ) છે. આ ગુનામાં દીપક સાહબલાલ દિવાકર (રહે. તાતીથૈયા, પલસાણા) વોન્ટેડ છે. LCB પીઆઈ વી.જે. જાડેજા અને એસ.વી. આહીર સહિતની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ફરાર આરોપી દીપકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં તાજેતરમાં ચિરાગ ગોટી સામે થયેલી કડક કાર્યવાહી બાદ હવે તેના આતંકનો ભોગ બનેલા લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. વર્ષ 2018માં ચિરાગના ત્રાસનો શિકાર બનેલા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રજની બાવળિયા આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાની આપવીતી લઈને પહોંચ્યા હતા. વેપારીએ આક્ષેપ કર્યો છે કે ચિરાગે તેને વ્યાજના વિષચક્રમાં ફસાવી મિલકતો વેચવા મજબૂર કર્યો હતો. રિવોલ્વરની અણીએ 18 લાખની વસૂલાતવેપારી રજની બાવળિયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, તેમણે ચિરાગ પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. જોકે, માત્ર એક જ મહિનામાં ચિરાગે 30-40 લોકોના ટોળા સાથે તેમના ઘરે ધાકધમકી આપી હતી. ચિરાગે વેપારીને તેના ઘરે બોલાવી, રિવોલ્વર બતાવી ધમકી આપી કાં તો ચાર ફ્લેટ તેના નામે કરવા અથવા તાત્કાલિક 18 લાખ રૂપિયા ચૂકવી દેવાની ધમકી આપી હતી. મોતનો ડર બતાવીને એક મહિનામાં જ 3 લાખના 18 લાખ વસૂલવામાં આવ્યા હતા. પરિવારની હાજરીમાં અપાઈ ધમકીપીડિત વેપારીના જણાવ્યા અનુસાર જ્યારે તેને ચિરાગના ઘરે બોલાવવામાં આવ્યો ત્યારે ત્યાં ચિરાગનો ભાઈ લાલો, તેના પિતા ઘનશ્યામભાઈ અને માતા સહિત આખો પરિવાર હાજર હતો. આખા પરિવારની હાજરીમાં જ પહેલા માળે તેને રિવોલ્વર બતાવી ડરાવવામાં આવ્યો હતો. વેપારીએ અંતે મજબૂર થઈને પોતાની મિલકત વેચી દીધી અને ચિરાગના ભાઈ લાલા પાસેથી જ લોન લઈને 18 લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. પિતા સાથેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધઆ મામલે વેપારી પાસે મજબૂત પુરાવા હોવાનો પણ દાવો કરાયો છે. રજની બાવળિયાએ જણાવ્યું કે, મેં ગઈકાલે જ ચિરાગના પિતા ઘનશ્યામભાઈ સાથે ફોન પર વાત કરી હતી. મેં તેમને જૂની ઘટના યાદ અપાવી ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે હા, ચિરાગે તારા પર રિવોલ્વર તાણી હતી. આ વાતચીતનું રેકોર્ડિંગ વેપારીએ પોલીસને સોંપવાની તૈયારી બતાવી છે, જે આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. વ્હાઇટ કોલર ગેંગસ્ટરની પકડ મજબૂત કરવાની તજવીજવેપારીએ ચિરાગ ગોટીને 'વ્હાઇટ કોલર ગેંગસ્ટર' ગણાવતા કહ્યું કે તે હંમેશા મર્ડર અને કિડનેપિંગની જ વાતો કરતો હતો. તેનો મુખ્ય ધંધો જ લોકો પાસેથી પૈસા પડાવવાનો છે. અગાઉ લોકલાજના ડરે અને જીવના જોખમે વેપારી શાંત રહ્યા હતા, પરંતુ હવે ચિરાગ સામે અન્ય ફરિયાદો થતા તેમણે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત કરી છે. સુરત પોલીસ હવે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.
ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા આજે સચિવાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તા. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ શિબિરમાં કુલ 223 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. “ધી ગુજરાત સચિવાલય ફેડરેશન” દ્વારા કરવામાં આવેલી અપીલને સકારાત્મક પ્રતિસાદ મળતા મોટી સંખ્યામાં રક્તદાતાઓ આગળ આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ રક્તદાનને મહાદાન ગણાવી સૌને નિયમિત રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી સામાજિક પ્રવૃત્તિઓથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે છે અને સમાજમાં સહકારની ભાવના મજબૂત બને છે. શિબિરમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલીયા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશનના હોદેદારો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
1 લાખના 1.20 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ઉઘરાણી:યુવાનની પત્નીને ધાકધમકી આપી બળજબરીથી 8 હજાર પડાવ્યા
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક યુવકને પૈસાની જરૂરિયાત ઉભી થતા પિરછલ્લા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા 1 લાખ, 10 ટકાના વ્યાજે લીધા હતા. સમયાંતરે યુવકે વ્યાજ સહિત 1.20 લાખ જેટલી રકમ પરત ચુકવી દીધી હોવા છતાં શખસે વધુ 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી હતી. યુવક બહારગામ ગયો હોવાની તકનો લાભ લઈ શખ્સ તેના ઘરે પહોંચ્યો હતો તેમજ યુવાનની પત્નીને ધાકધમકી આપી બળજબરીથી 8 હજાર કઢાવી લીધા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. સુનિલભાઈએ જીતેન્દ્ર પાસેથી 10 ટકાના વ્યાજદરે રૂપિયા 1 લાખ લીધા હતાઆ અંગે ઘોઘા રોડ પોલીસ મથેકથી મળતી માહિત મુજબ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારના જુના ત્રણ માળીયામાં રહેતા સુનીલભાઈ પ્રવિણભાઈ પુરોહિતે શહેરના પીરચ્છલ્લા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર બાબુભાઈ પરમાર સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એકાદ વર્ષ પહેલા ગાડીના વ્યવસાય માટે તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા સુનિલભાઈએ જીતેન્દ્ર પાસેથી 10 ટકાના વ્યાજદરે રૂપિયા 1 લાખ લીધા હતા અને તે પેટે તેણે લખાણ કરાવી તેના આઈશરની આરસી બુક મેળવી લીધી હતી. તારે હજુ મુદલ 1.20 લાખ આપવાના બાકી કહી પઠાણી ઉઘરાણી કરીવ્યાજના પૈસા પેટે સુનિલભાઈએ જિતેન્દ્રના કહેવાથી શૈલેષભાઈ પ્રવિણભાઈ પરમારને ફોનપે થી 50 હજાર અને કટકે-કટકે 70 હજાર રોકડ મળી કુલ 1.20 લાખ ચુકવી આપ્યા હતા, જે બાદ જીતેન્દ્ર પાસે આઈશરની આરસી બુક પરત માંગતા તેણે સુનિલભાઈએ આપેલા 1.20 લાખ વ્યાજમાં ગણી, તારે હજુ મુદલ રૂા.1.20 લાખ આપવાના બાકી છે. તેમ કહી પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ઘરે આવી માંગણી કરી હતી. હુ તને અને તારા પતિને ગમે ત્યાથી ગોતી મારી નાખીશતે દરમિયાન સુનિલભાઈ 15 દિવસ પહેલા ચેન્નાઈ ગયા હતા, ત્યારે આ વ્યાજખોર શખ્સ ધોકો લઈ તેના ઘરે પહોંચ્યો હતો તેમજ સુનિલભાઈના પત્નીને ધમકી આપી હતી કે, જો 1.20 લાખ પાછા નહી આપે તો હુ તને અને તારા પતિને ગમે ત્યાથી ગોતી મારી નાખીશ તેમજ સુનિલભાઈની પત્ની પાસેથી બળજબરીથી 8 હજાર કઢાવી લઈ વ્યાજ અને મુદલની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી. જે બનાવની ફરિયાદ અનુસંધાને પોલીસે શખ્સ સામે BNS એક્ટ 308(5), 329(3), 352, 351(3), ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 40, 42, તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લીંબડી પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 10,11,933 ની કિંમતના 27 ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ કાર્યવાહી લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ક્રમાંક 1008/2023, IPC કલમ 379 અને 411 હેઠળ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક અને પ્રભારી ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વિવિધ કંપનીઓના A-સીરિઝ અને અન્ય મોડેલના કુલ 27 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ફોનની કુલ અંદાજિત કિંમત રૂ. 10,11,933 છે. પરત મળેલા મોબાઈલમાં મુખ્યત્વે સેમસંગ, વિવો, ઓપ્પો જેવી કંપનીઓના હેન્ડસેટનો સમાવેશ થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તમામ મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને સુપરત કર્યા હતા. પોતાના ચોરાયેલા મોબાઈલ પરત મળતા માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેઓએ લીંબડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કામગીરી લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને સ્ટાફની મહેનત અને કાર્યદક્ષતાના પરિણામે સફળ બની છે.
ધોલેરાના રિવર ફ્રન્ટ માર્ગ પર જી-4 ટાવર નજીક એક ગંભીર અકસ્માત થયો છે. રસ્તા પર ઉભેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે બાઇક અથડાતા મૂળ ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના 11મી તારીખે રાત્રે બની હતી. મૃતકનું નામ જિતેન્દ્રભાઈ બચ્ચનરામ છે. તેઓ બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર ઉભેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે તેમની બાઇક અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર જિતેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ મામલે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફતેપુરામાં દીપડાએ ત્રણ બકરાનું મારણ કર્યું:ગામમાં ભયનો માહોલ, વન વિભાગે પાંજરા ગોઠવ્યા
ફતેપુરા તાલુકાના આપ તળાઈ ગામે બુધવારે રાત્રે દીપડાએ ત્રણ બકરાનું મારણ કર્યું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે.દીપડાના હુમલામાં સુરતાબેન બાબુભાઈ કટારાના એક બકરા અને બે બકરીના મોત થયા હતા. આ હુમલામાં અંદાજે 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. તાલુકામાં જંગલોના નાશ થવાને કારણે વન્યજીવો ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ખાસ કરીને દીપડા અને જંગલી ભૂંડ જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માણસો અને પશુઓ પર હુમલાના બનાવોમાં વધારો થયો છે.બે દિવસ અગાઉ ફતેપુરાના છાલોર ગામે પણ દીપડો જોવા મળ્યો હતો. વન વિભાગને જાણ કરાતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ દીપડો પકડાયો ન હતો અને મકાઈના ખેતરમાંથી ભાગી ગયો હતો. આ ઉપરાંત, એકાદ મહિના અગાઉ સુખસર તાલુકાના લખણપુરના માતા ફળિયા ખાતે મકાઈના ખેતરમાં દીપડો જોવા મળ્યો હતો. તે સમયે પણ વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ દીપડો ચકમો આપી જંગલ તરફ ભાગી ગયો હતો. ગ્રામજનો દીપડાને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અને 'સેવા સેતુ'નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા ખેડૂતો, કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને આહવાન કર્યું હતું.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર એક પદ્ધતિ નથી, પરંતુ ધરતી માતાને બચાવવા માટેનું પવિત્ર જન આંદોલન છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઝેરમુક્ત આહાર અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે આ અભિયાનને વેગવંતું બનાવવાની વાત કરી હતી.તેમણે રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજાવતા કહ્યું કે તેનાથી જમીન બંજર બની રહી છે. ઝેરી તત્વો માતાના દૂધ અને ભૂગર્ભ જળ સુધી પહોંચી ગયા છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મૂળ કારણ બની રહ્યા છે. રાજ્યપાલે જીવામૃત અને અળસિયાને 'કુદરતી એન્જિનિયરો' ગણાવ્યા હતા, જે કઠણ જમીનને પણ જીવંત બનાવી શકે છે. તેમણે જંગલનું ઉદાહરણ આપી સમજાવ્યું કે પ્રકૃતિના ચક્રમાં ખાતર વગર પણ વૃક્ષો લહેરાય છે. પ્રાકૃતિક ખેતીમાં 'વોટર હાર્વેસ્ટિંગ' આપોઆપ થાય છે, જેનાથી પાણીનો વપરાશ 50 ટકા ઘટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે અને ગૌમાતાની સેવા જ ખેતીને સમૃદ્ધ બનાવશે.પોતાના 200 એકરના પ્રાકૃતિક ખેતીના નવ વર્ષના અનુભવને વર્ણવતા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આગ્રહ કર્યો કે શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરના ખૂણેથી આ પ્રયોગ શરૂ કરે. તેમણે કહ્યું કે આ પદ્ધતિમાં ખર્ચ શૂન્ય છે અને ખેડૂતની સમૃદ્ધિ નિશ્ચિત છે.કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરાયું હતું. તેમણે 'સેવા સેતુ'ના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, જ્યાં આયુષ્માન કાર્ડ, રસીકરણ અને અન્ય જનકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા.જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવવા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં ઘનકચરાના ગેરકાયદેસર નિકાલના કૌભાંડમાં કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના આગેવાનોએ 6.6 હજાર ટન કચરો ખાડીમાં પધરાવનાર કોન્ટ્રાક્ટર સામે માનવ જીવનને જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ કૌભાંડ અંકલેશ્વરમાં લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ પ્રોજેક્ટને લગતું છે. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને ત્રણ મહિનામાં 27 હજાર ટન કચરાનો નિકાલ કરવાનો હતો. તેમાંથી 22 હજાર મેટ્રિક ટનનો નિકાલ કરાયો હતો, પરંતુ હજુ 6 હજાર ટન જેટલો કચરો સાઇટ પર જ પડ્યો છે. અંકલેશ્વરના કોંગ્રેસી આગેવાન ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું કે, 6.6 હજાર ટન કચરો, જેના નિકાલ પર ગુજરાતમાં પ્રતિબંધ છે અને જેનો નિકાલ ફક્ત મહારાષ્ટ્રમાં જ થઈ શકે છે, તેને કોન્ટ્રાક્ટર દ્વારા માનવ અને પર્યાવરણને નુકસાન પહોંચાડીને બારોબાર ખાડીમાં ઠાલવી દેવાયો હતો. આ કોન્ટ્રાક્ટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતોને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે. શંકા ન જાય તે માટે, વેસ્ટ સેગ્રીગેશન સાઇટ-સુકાવલીને અડીને રસ્તો બનાવીને અવાવરું ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હતો.
ભેનકવડ નજીક કાર પલટી:અકસ્માતમાં પાછતરડીના 24 વર્ષીય યુવાનનું મોત
ભાણવડ તાલુકાના ભેનકવડ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાણવડ તાલુકાના પાછતરડી ગામના 24 વર્ષીય યુવાન લાખાભાઈ કોડિયાતરનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત કાર પલટી જવાથી થયો હતો.જેમાં યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બુધવારે સાંજે એક વૃદ્ધ મહિલાએ પોતાનું ઘર તૂટતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોની સમયસર મધ્યસ્થીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. દહેગામના આંતરિક માર્ગો પર વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ, ઔડાની ટીમે બુધવારે સવારથી પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ રોડ લાઈનમાં આવતા કાચા-પાકા દબાણો અને મકાનોના વધારાના ભાગોને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હતા. સાંજના સમયે ડિમોલિશનની કામગીરી પૂર્ણતાના આરે હતી, ત્યારે પોલીસ સ્ટેશન પાસે રહેતા વિનુબેન વાઘેલા નામના વૃદ્ધ મહિલાનું મકાન પણ દબાણમાં આવતું હોવાથી તોડી પાડવામાં આવ્યું. વર્ષો જૂનો આશરો છીનવાઈ જતાં વિનુબેન અત્યંત ભાવુક બન્યા હતા. તેઓ અચાનક પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને દોડી આવ્યા અને 'મને મારું ઘર અપાવો' તેવી બૂમો પાડતા પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વૃદ્ધ મહિલા કોઈ અઘટિત પગલું ભરે તે પહેલાં જ ત્યાં ઉભેલા જાગૃત નાગરિકો અને અન્ય મહિલાઓએ તુરંત દોડી જઈ વિનુબેનના હાથમાંથી પેટ્રોલની બોટલ ઝૂંટવી લીધી હતી અને તેમને શાંત પાડ્યા હતા. લોકોની સમયસરની મધ્યસ્થીને કારણે મોટી હોનારત ટળી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક તરફ તંત્રની ટ્રાફિક હળવો કરવાની કામગીરીને લોકો આવકારી રહ્યા છે, તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આશરા છીનવાતા હોવાથી લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચાંદી ચોરી કેસમાં અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ચાર આરોપીઓને આજરોજ બી ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા આવતીકાલ સાંજ સુધી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જેને લઈ પોલીસે આરોપીઓની અલગ અલગ દિશામાં ઊંડાણ પૂરબિક પુછપરછ શરૂ કરી છે. પોલીસની તપાસ દરમિયાન વધુ એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે જેમાં આરોપી રતનસિંગને અમદાવાદ ખાતે તેડવા માટે શ્રવણ નામનો શલહસ આવ્યો હતો અને બન્ને પરત રાજસ્થાન ગયા હતા. આ ઉપરાંત રતનસિંગે તેમના ભાગમાં આવેલ ચાંદી પૈકી 6 કિલોથી વધુ ચાંદી વેચવા માટે આપી હતી જે પૈકી 4 લાખ રૂપિયા શ્રવણએ રતનસિંગને આપ્યા હતા અને બાકીના પૈસા શ્રવણએ રાખ્યા હતા જો કે શ્રવણ કોણ છે કેટલા રૂપિયામાં ચાંદી વેચ્યું હતું સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રતનસિંગને મળેલ ચાર લાખ પૈકી બે લાખ રૂપિયા મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા જયારે બાકીના બે લાખ બચ્યા હતા જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ચોરી કરવા આવેલ આરોપીઓ વચ્ચે ભાગબટાઈ થતા બધાના ભાગે 30-30 કિલો ચાંદી આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય આરોપી શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. શૈલેન્દ્રસીંગ દારૂ, ચોરી, છેતરપિંડી, ઘરફોડ ચોરી, અને ઠગાઈ કરવા ટેવ ધરાવતો હોવાનું પકડાયેલ આરોપીઓએ કબૂલાત આપી છે. એકાદ વર્ષ પહેલા શૈલેન્દ્રસીંગ સુરતમાં આંગડિયા પેઢીને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી પર હુમલો રાજકોટના હીરેન ગરચર (ઉ.વ.23) નામનો યુવાન આજે બપોરે નવાગામ નજીક જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે હતો ત્યારે આશીષ દેવીપૂજક અને તેની સાથેના સાતથી આઠ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી તેણે ફોન કરતા તેના માતા અલ્પાબેન અને ભાઇ કૃપાલ હીરેનને બચાવવા વચ્ચે પડતા આોરપીઓએ ત્રણેય ઉપર હુમલો કરી માર મારતા માતા પુત્રોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આજીડેમ ચોકડી નજીક વિપુલ ચૌહાણ નામના યુવાન ઉપર દારૂના પૈસાની દેતી લેતીમાં કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીએ ખુની હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં હીરેન પણ આરોપી હોય અને તે છેલ્લા છ માસથી નાસતો ફરતો હોવાનુ જાણવા મળ્યુ છે.
શિહોરીમાં હિન્દુ સંમેલનનું આયોજન:14 ફેબ્રુઆરીએ ગૌ માતા મંદિરે યોજાશે, મુકુંદજી મહારાજ આશીર્વચન આપશે
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આગામી તા. 14 ફેબ્રુઆરી, શનિવારના રોજ બપોરે 12:30 કલાકે ગાય માતાના મંદિરે એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો અને હિન્દુ સમાજને એક કરવાનો છે. આ સંમેલનમાં ગૌ ધામ પથમેડાથી પરમ પૂજ્ય મુકુંદજી મહારાજ આશીર્વચન આપવા માટે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની અપેક્ષા છે.સંમેલનની તૈયારીઓના ભાગરૂપે શિહોરી ગૌ માતાના મંદિરે એક આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, દિનેશભાઈ ઠક્કર, હરસિલભાઈ વ્યાસ, જેણુભા ડાભી, ગણપતલાલ પ્રજાપતિ, કલ્પેશભાઈ પંચાલ, જયેશભાઈ ગોસ્વામી, અર્જનસિંહ ડાભી, રણુભા ડાભી, પ્રતાપસિંહ ડાભી, સજુભા ડાભી, રોહિતભાઈ શાસ્ત્રી, રાજેન્દ્રભાઈ જોષી અને વિક્રમ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓના સુચારુ આયોજન માટે ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં કુલ 62,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેને પગલે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા અને CCTV દ્વારા બાજ નજર રાખવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધો.10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન રજૂ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં ધો.10 ના 37,501 ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 18,717 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 6,292 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10 માટે 132 બિલ્ડીંગ, 1254 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 31 બિલ્ડીંગ, 319 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 69 બિલ્ડીંગ, 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે, બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પહેલાં આ ત્રણ મુદ્દા સમજી લો... મીડલ ઈસ્ટ, અમેરિકા, રશિયા સાથે ડિપ્લોમેટિક સંબંધોનું સંતુલન જાળવી રાખવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંકટ મોચક 80 વર્ષના NSA અજિત ડોવાલને સોંપી છે. આ બધા વચ્ચે ડોવાલ સાઉદી અને કેનેડા પહોંચી ગયા. ડોવાલે એવી ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી ગોઠવી કે પાકિસ્તાનને તમ્મર આવી ગયાં. નમસ્કાર, અજિત ડોવાલ 5 ફેબ્રુઆરીએ સાઉદી અરબ ગયા. ત્યાં ત્રણ દિવસ રોકાયા ને 8 ફેબ્રુઆરીએ કેનેડા પહોંચ્યા. આ બંને દેશની મુલાકાત ભારતના NSA લે એ કોઈ નાની વાત નથી. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે શું વાત થઈ, તે જાહેર કરાયું નથી. માત્ર ન્યૂઝમાં ફોટા આવી ગયા કે સાઉદી અરબ અને કેનેડાની મુલાકાત લેતા અજિત ડોવાલ. એનાથી વિશેષ કાંઈ નહિ. એનો મતલબ એનો થયો કે ડોવાલે દેશની સુરક્ષાની કોઈ મોટી બાબતને લઈને બંને દેશોની મુલાકાત કરી. આનાથી પાકિસ્તાન અને ખાલિસ્તાનીઓના પેટમાં તેલ રેડાયું છે. બીજી તરફ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ. આ મુલાકાત પર પણ ભારતની નજર છે કારણ કે ઈરાન પર હુમલો થાય તો આખા મીડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ થઈ જાય. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પ અને નેતન્યાહૂ શું કરે છે... નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે બંધબારણે શું વાતચીત થઈ? ઈઝરાયલ ઈચ્છે છે કે ઈરાન પર હુમલો થાય. પણ ટ્રમ્પ હજી ઢીલું મૂકી રહ્યા છે. તે ઉતાવળિયું પગલું ભરવા માગતા નથી. ઈરાન પર હુમલો થશે... એવું મહિનાઓથી ગાજે છે પણ અમેરિકા ચૂપ છે. અંતે હુમલાની રાહ જોઈ-જોઈને કંટાળેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ મારતા પ્લેને અમેરિકા પહોંચ્યા. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે બંધબારણે મિટિંગ થઈ. અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે, નેતન્યાહૂએ ટ્રમ્પને કહ્યું હશે કે મેં તમારી વાત માનીને ગાઝા પીસ પ્લાન પર સહી કરી. હવે તમે મારી વાત માનીને ઈરાન પર હુમલો કરો. ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા માટે તૈયાર છે પણ હુમલો તાત્કાલિક કરે તેવું લાગતું નથી. કારણ કે ટ્રમ્પ અને નેતન્યાહૂની બંધ બારણે મિટિંગ પૂરી થઈ પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર લખ્યું કે, અમે કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા પણ અમે એ વાત પર જોર આપીએ છીએ કે ઈરાન સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ. મેં નેતન્યાહૂને કહી દીધું છે કે, ઉતાવળ નથી કરવી. ઈરાન સાથે સમજૂતી કરવાનો પ્રયાસ ચાલે છે. જો સમજૂતી થઈ જાય છે તો સારું છે પણ ન થાય તો પરિણામ ભોગવવું પડશે. ગયા વખતે ઈરાન માન્યું નહોતું તો અમે ઓપરેશન મીડનાઈટ હેમર ચલાવ્યું હતું. મેં નેતન્યાહૂ સાથે ગાઝા અને આસપાસના વિસ્તારોમાં શાંતિ સ્થપાય તેના પર પણ વાત કરી. અત્યારે તો મીડલ ઈસ્ટમાં શાંતિ છે. ભારત ત્રિભેટે ઊભું છે, ડોવાલ સ્ટ્રેટેજી ગોઠવે છે... ડોવાલ સાઉદી અરબ પહોંચ્યા, પેટમાં દુખ્યું પાકિસ્તાનને પાંચ મહિના પહેલાંની વાત છે. સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સ એગ્રીમેન્ટ થયા. સાઉદી પાસે સેના નથી કે પરમાણુ બોમ્બ નથી. જે પાકિસ્તાન પાસે છે એની સામે તેની પાસે પૈસા નથી, જે સાઉદી અરબ પાસે છે. એ રીતે બંને દેશો સાથે મળીને એકબીજાની ખોટ પૂરી કરશે. આનાથી ભારત માટે સંકટ એ આવ્યું કે જો ક્યારેક ફરી યુદ્ધનો માહોલ થયો ને ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો તો સાઉદી અરબ પર પણ હુમલો થયો ગણાશે. ભારત અને સાઉદીના સંબંધો સારા છે, જોકે આ ડીલથી સાઉદી અને ભારતના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ભારતે UAE સાથે દોસ્તી વધારી તો સાઉદીને પેટમાં દુખ્યું સાઉદી અરબની રાજધાની રિયાધમાં 28 જાન્યુઆરી, 2026એ મિટિંગ મળી. આ મિટિંગ સિક્યોરિટી વર્કિંગ ગ્રુપની હતી. આ મિટિંગમાં હાજરી આપવા ભારતના વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી (કાઉન્ટર ટેરરિઝમ) વિનોદ બહાદે પહોંચ્યા. તેમની સાથે સાઉદીના લીગલ અફેર્સ અને ઈન્ટરનેશનલ કો-ઓપરેશનના ડાયરેક્ટર જનરલ અહમદ અલ-ઈસાએ વાતચીત કરી. હવે મૂળ મુદ્દો આવે છે. આ મિટિંગમાં સાઉદી અરેબિયાએ ભારતમાં સીમા પારના આતંકવાદની નિંદા કરી. સાઉદી અરબે 22 એપ્રિલ 2025ના પહેલગામ હુમલા અને 10 નવેમ્બર 2025એ લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને દુ:ખદ ગણાવી. આ ભારત માટે મોટી વાત હતી, કારણ કે પાકિસ્તાનના ગાલે પહેલો તમાચો હતો. પાકિસ્તાન અંધારાંમાં રહ્યું ને ચોકઠાં ગોઠવાઈ ગયાં અજિત ડોવાલ સાઉદી અરબની રાજધાની રિયાધ પહોંચ્યા. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાન અને સાઉદી અરેબિયાના રાજકીય બાબતોના નાયબપ્રધાન સઉદ અલ-સતીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. સતી અગાઉ ભારતમાં સાઉદી અરેબિયાના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે અજિત ડાભાલની સાઉદી મુલાકાત વધારે મહત્વની બની જાય છે. પાંચ મહિના પહેલાં સપ્ટેમ્બર-2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાને સંબંધોને મજબૂત બનાવવા માટે રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા, તે પછી ડોવાલની આ પહેલી મુલાકાત છે. અજિત ડોવાલ સાઉદી ગયા એટલે પાકિસ્તાનનું બીપી વધી ગયું છે. ત્યાં તેમણે સાઉદીના NSA મુસૈદ બિન મહંમદ અલ એબાન સાથે મુલાકાત કરી. એબાનને સાઉદીમાં ખતરોં કે ખિલાડી મનાય છે. ચીન અને ઈરાન વચ્ચે દુશ્મની ખતમ કરાવવા એબાને મહત્વની ભૂમિકા ભજવી છે. ડોવાલ અને એબાનનું સાથે આવવું શાહબાઝ અને મુનીર માટે ખરાબ સપનાં સમાન છે. હા, ડોવાલે સાઉદીમાં શું ચોકઠાં ગોઠવ્યાં તે ભારત સરકારે જાહેર કર્યું નથી. સાઉદીએ પણ મગનું નામ મરી પાડ્યું નથી. હવે વાત કેનેડાની... અજિત ડોવાલ સાઉદી અરબ ત્રણ દિવસ રોકાઈને કેનેડાના ઓટાવામાં પહોંચ્યા. અજિત ડોવાલે કેનેડામાં ત્યાંના NSA નતાલી ડ્રોઈન સાથે હાઈલેવલ મિટિંગ કરી. અજિત ડોવાલ કેનેડા જાય તે ભારત માટે નાનાં સમાચાર નથી. એની પાછળની સ્ટ્રેટેજી સમજવા જેવી છે. ડોવાલ સાઉદી ગયા ને પાકિસ્તાનને પેટમાં દુખ્યું, તેમ કેનેડા ગયા તો પણ પાકિસ્તાનને પેટમાં દુખ્યું. સવાલ એ થાય કે કેનેડાને ને પાકિસ્તાનને એવું તે શું લાગેવળગે? કે તેને પેટમાં દુ:ખે? એની વાત આગળ કરીશું પણ કેનેડા વિઝિટની ડોવાલની સ્ટ્રેટેજી જાણી લઈએ. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો હતા ત્યારે 2023માં ખાલીસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ. કેનેડાએ આરોપ લગાવ્યો કે ભારતે જ આ હત્યા કરાવી છે. એ વખતથી ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા હતા. એ પછી જસ્ટીન ટ્રુડો પદ પરથી હટી ગયા ને નવા વડાપ્રધાન આવ્યા માર્ક કાર્ની. ટ્રુડો ભારત વિરોધી હતા પણ કાર્ની ભારત તરફી છે. આવતા મહિને માર્ચ-2026ના પહેલા સપ્તાહમાં માર્ક કાર્ની ભારત આવી રહ્યા છે. તે પહેલાં અજિત ડોવાલની કેનેડા મુલાકાત પાશેરામાં પહેલી પૂણી સમાન છે. કારણ કે ભારત-કેનેડાના સંબંધો હજી દૂર સુધી લઈ જવાના છે. ડોવાલની કેનેડા મુલાકાત માત્ર ઔપચારિક નથી. તેની પાછળ ત્રણ મિશન છે. પહેલું મિશન - કેનેડા સરકારને સ્પષ્ટ મેસેજ આપવો કે ભારત વિરોધી ગતિવિધિ અને ખાલિસ્તાની અલગતાવાદીઓને કેનેડાની ધરતીનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં ન આવે. બીજું મિશન - ભારતના NSA અને કેનેડાના RCMP (રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ) વચ્ચે સીધો તાલમેલ સ્થાપિત કરવો ત્રીજું મિશન - એક એવો રોડમેપ તૈયાર કરવો કે જ્યારે માર્ક કાર્ની ભારત આવે ત્યારે સિક્યોરિટીની ચર્ચાને બદલે માત્ર ટ્રેડ ડિલ અને ભવિષ્યની ટેકનોલોજી પર જ વાત થાય. ખાલિસ્તાનીઓનું આવી બનશે ભારત-કેનેડાના સંબંધો ફરીથી સ્થાપિત થાય તો ખાલિસ્તાની આતંકવાદીઓને માથાનો દુખાવો થશે. ખાલિસ્તાનીઓ લાંબા સમયથી ભારત સામે હુમલા કરવા માટે કેનેડાનો ઉપયોગ કરતા આવ્યા છે. કેનેડાથી ભારત સરકારને ધમકીઓ આપી છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગના બધા માસ્ટરમાઇન્ડ કેનેડામાં સ્થિત છે. આ તત્વો ડ્રગ કાર્ટેલ ચલાવી રહ્યા છે અને પંજાબમાં ડ્રગ્સ, શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરીને સરળ બનાવી રહ્યા છે. ડોવાલની કેનેડા મુલાકાત પાછળ ખાલિસ્તાનીઓને ટાર્ગેટ બનાવવાની સ્ટ્રેટેજી બની હોવાનું મનાય છે. બીજું, ભારત-કેનેડાએ આતંકવાદ સામે સંયુક્ત મોરચો ખોલ્યો છે. કેનેડાએ હાલમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હવે બંને દેશ આ નેટવર્ક તોડવા માટે ઈન્ટલિજન્સ ઈનપુટની આપ-લે કરશે. NSA વચ્ચેની બેઠકની એક ખાસ વાત રીયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ હતી. મુખ્ય ફોક્સ ખાલિસ્તાનીઓ પર રહેશે. ટાર્ગેટ ખાલિસ્તાન, અકળાયું પાકિસ્તાન ડોવાલને કેનેડા જવું પડ્યું ને ખાલિસ્તાન મુદ્દે મિટિંગ કરવી પડી એનું સૌથી મોટું કારણ પાકિસ્તાન છે. જી હા, કેનેડાના હાથમાંથી ખાલિસ્તાનનો મુદ્દો નીકળી રહ્યો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ પંજાબમાં ખાલિસ્તાન ચળવળને વેગ આપવા એક મોટો પ્લાન બનાવ્યો છે. તાજેતરના ઈન્ટલિજન્સ રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનની ISI એ કથિત રીતે ખાલિસ્તાની ઓપરેટિવ્સને એક્ટિવ કર્યા છે અને તેઓ પંજાબમાં ઘુસણખોરી કરવાની તકની રાહ જોઈ રહ્યા છે. કેનેડામાં ISIની કાશ્મીર પેટર્ન ટૂંકમાં, પાકિસ્તાન અત્યાર સુધી જે કાશ્મીરમાં કરતું આવ્યું છે તે હવે કેનેડામાં કરે છે. કેનેડામાં રહેતા બેરોજગાર શીખ યુવાનોની ભરતી કરીને ખાલિસ્તાની ચળવળમાં સામેલ કરે છે. ખાલિસ્તાની મૂવમેન્ટને વધારે મજબૂત બનાવવા માટે ISI સારું એવું ફંડ પણ રિલિઝ કરે છે. એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છે કે કેનેડાના દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાલિસ્તાનના ધ્વજ અને સંબંધિત પોસ્ટરો દેખાય છે. આ ISIની કાશ્મીર પેટર્ન છે. ISI આ નેટવર્ક ચલાવે છે ત્યારે ખાલિસ્તાનીઓનું સૌથી મોટું કમાન્ડ સેન્ટર કેનેડામાં છે ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ આવે છે. આમ તો કેનેડાએ ક્યારેય ખાલિસ્તાનના મુદ્દાને ઉગ્રવાદ તરીકે જોયો નહોતો. હવે કેનેડાને સમજાયું છે કે તેના જ દેશમાં માથું ઊંચકતા ખાલિસ્તાનીઓ કેટલા ખતરનાક છે. ડોવાલની મુલાકાતથી ISIના ખાલિસ્તાનીઓને વેગ આપવાના પ્લાનમાં ફાચર પડશે. ડોવાલનો કેનેડાને મેસેજ, એક જ વાત- ખાલિસ્તાનીઓને ખદેડો નહિતર... ન્યૂઝ એજન્સી EMSના રિપોર્ટ મુજબ અજિત ડોવાલે કેનેડાને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારત આવી રહ્યા છે. દિલ્હીમાં થનારી AI ટેકનોલોજી સમિટમાં માર્ક કાર્ની ભાગ લેવાના છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મિટિંગ થશે. યુરેનિયમ, ઉર્જા, મહત્વના ખનીજ અને AI જેવા સેક્ટરમાં અબજો ડોલરની ડિલ થઈ શકે છે. જો આ ડિલ કરવી હોય તો ખાલિસ્તાનીઓને કહી દો... બિસ્તરાં-પોટલાં બાંધી લે... કેનેડાને પાકિસ્તાન જેવો જ મેસેજ આપી દેવાયો. વેપાર અને આતંકવાદ સાથે નહીં ચાલી શકે. જો ભારત સાથે ડિલ કરવી હોય તો ખાલિસ્તાનીઓએ કેનેડામાંથી ઊચાળા ભરવા પડશે. ન્યૂઝ એજન્સીનો રિપોર્ટ એવું પણ કહે છે કે ડોવાલે કેનેડાને સ્પષ્ટ કહી દીધું કે, ખાલિસ્તાની ગ્રુપો ડ્રગ્સની હેરાફેરી, ખાસ કરીને ફેન્ટાનાઇલ ડ્રગથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને તે ડ્રગના પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવવા માટે કરી રહ્યા છે. ખાલિસ્તાનીઓ કેનેડામાં રહેતા ભારતીય પ્રવાસીઓને ડરાવીને પૈસા પડાવે છે. આતંકવાદીઓ કેનેડામાં પ્રવેશવા માટે ઇમિગ્રેશન નિયમોમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરે છે. હવે આ છટકબારીને બંધ કરવા માટે એક મજબૂત ડેટા-શેરિંગ યોજના અમલમાં મૂકવાની છે. ટૂંકમાં ખાલિસ્તાની નેટવર્ક પર સિકંજો કસવાનો છે. છેલ્લે, તમને એક તસવીર યાદ હશે. મુનીર અને શાહબાઝ અમેરિકા ગયા ત્યારે એક બ્રીફકેસમાં જાતજાતના મિનરલ્સના નમૂના બતાવતા હતા. ટ્રમ્પને લાલચ આપતા હતા કે, અમારી પાસે મિનરલ્સનો ખજાનો છે. હમણાં 4 ફેબ્રુઆરીએ અમેરિકામાં ક્રિટિકલ મિનરલ્સની મિટિંગ થઈ, તેમાં ભારતને આમંત્રણ મળ્યું પણ પાકિસ્તાનને આમંત્રણ ન મળ્યું. ભારત વતી એસ.જયશંકર અમેરિકા ગયા. જે મુનીર ને શાહબાઝ મીનરલ્સના જોરે અમેરિકાના ખોળે બેસવા માગતા હતા તે જ અમેરિકાએ મીનરલ્સની મિટિંગમાં પાકિસ્તાનને બોલાવ્યું નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં 300થી વધુ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે-સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધના વાલાની નિમણૂક થયા બાદ મોટા પાયે તેનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજીનામા પણ પડી ચૂક્યા છે. તમામ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપવા જોડાઈ રહ્યા છે. ભાજપે તમામ સંસ્થાઓને તમામ ચૂંટણીમાં ગડબડ કરીને સત્તા ટકાવી રાખીઆ મહત્વપૂર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે. બીજી બાજુ ભાજપનું એકચક્રી શાસન છે, ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી અને તમામ ચૂંટણીમાં ગડબડ કરીને સત્તા ટકાવી રાખી છે. એની સામે આજે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી સામે લડી રહ્યા છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે. એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરની જે સેવા કરવામાં આવીવધુમાં જણાવ્યું હતું કે, મને જણાવતા ખુશી થાય છે કે પોતાનો રાજકીય અનુભવ લઈને આજે ઘણા આગેવાનો ગુજરાતના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા તથા ભાજપની સામે લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તો એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ગર્વ કરવાની બાબત હોય છે. અમારા માટે ખાસ ગર્વની વાત એ છે કે, આજે ફિરોઝભાઈ મલેક જેઓ સુરતના જાણીતા સામાજિક કાર્યકર છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમના એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરની જે સેવા કરવામાં આવી એને આપણે સૌ જાણીએ છીએ. ફિરોઝભાઈ મલેક કોંગ્રેસમાં વર્ષોથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, વિદ્યાર્થીકાળથી તેઓ કોંગ્રેસના અનેક અલગ-અલગ પદો પર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે અને આજે કોંગ્રેસની કંઈ પણ કામ ન કરવાની નીતિથી નારાજ થઈને ફિરોઝભાઈ મલેક આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા અને નેતૃત્વ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દલિત સમાજના મોટા આગેવાન પણ AAPમાં જોડાઈ રહ્યા છેવધુમાં પ્રદેશ નેતા મનોજ સોરઠીયા જણાવ્યું હતું કે, આ સિવાય દલિત સમાજના મોટા આગેવાન કિરીટભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં અલગ-અલગ પદો પર ખૂબ સારી સેવા આપી છે, આજે પણ તેઓ કર્મચારીઓના અધિકારો માટે સતત લડત લડતા હોય છે. આ સિવાય મજબૂતીથી અવાજ ઉઠાવનાર અને સામાજિક કાર્યકર્તા તથા કોંગ્રેસમાં 35 વર્ષથી વધારે સમયથી સેવા આપનાર સલીમભાઈ ઘડિયાલી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના અલગ-અલગ પદો પર સેવા આપનાર સાજીદ ભાઈ જમાદાર પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે-સાથે ઓબીસી સમાજના મોટા નેતા, કોંગ્રેસમાં મોટા હોદ્દા ઉપર જવાબદારી તથા સુરત કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશભાઈ બારોટ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સામાજિક કાર્યકર સાજીદભાઈ શાહ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ઉપપ્રમુખ અને બીજા અનેક મુદ્દાઓ પર જવાબદારી નિભાવનાર આરીફભાઈ શાહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય કોંગ્રેસમાં મહિલા મોરચાના અનેક પદો પર જવાબદારી નિભાવનાર તથા મહારાષ્ટ્રીયન દલિત સમાજના મીરાબેન બાવીસકર આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સુરતના લોકો ઝંખતા હોય એવું નવું સુરત બનાવવાનું કામ અમે કરીશુંયુવા કોંગ્રેસના પદાધિકારી તરીકે ફરજ નિભાવનાર અનસભાઈ મલિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના આગેવાન મીરલભાઈ નકસીઘરા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સિવાય કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક કાર્યકર્તા તરીકે સેવા આપનાર સમીરભાઈ શેખ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તમામ આગેવાનોને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને ત્યારબાદ પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કોંગ્રેસના નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. હું બાહેંધરી કરી આપું છું કે, આ લડાઈ લોકોની લડાઈ છે એમાં તમામ લોકો સાથે મળીને ખભેથી ખભો મિલાવીને સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બને અને સુરતના લોકો ઝંખતા હોય એવું નવું સુરત બનાવવાનું કામ અમે કરીશું. ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છેભાજપે સુરતમાં જો કોઈ કામ કર્યું હોય તો લોકોને લૂંટવાનું કામ કર્યું છે. બ્રિજ બનાવવા જેવા અનેક સરકારી કામો અને યોજનાઓમાં ખુલ્લેઆમ આપણે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છીએ. સુરતમાં ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે. સુરતમાં બાપ બેટાની જે સરકાર ચાલે છે, તેમાં બાપા નેતા હોય અને દીકરાઓ લૂંટવાનું કામ કરતા હોય, એની સામે અમે તમામ લોકો સાથે મળીને લડીશું અને આવનારી ચૂંટણીઓમાં ખૂબ જ સારા પરિણામો આવશે એવી મને આશા છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TET-1 પરીક્ષા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પરીક્ષાના પરિણામમાં માત્ર 1-2 માર્ક્સ માટે રહી ગયેલા હજારો ઉમેદવારો હવે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. શિક્ષણ મંત્રીના આદેશ છતાં બોર્ડના અધિકારીઓએ પરિણામમાં સુધારો ન કરતાં અને વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા સમગ્ર મામલો ગરમાયો છે. વિદ્યાર્થી આગેવાન રાજકુમાર જાટવાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં એવું કહ્યું હતું કે, અમે શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને રજૂઆત કરવા ગયા હતા. તેમણે અમારી વેદના જાણીને અમારી સામે જ રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓને ફોન લગાવીને સૂચના આપી હતી કે, સુધારો કર્યા પછી જ પરિણામ જાહેર કરજો. પણ રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષણમંત્રીના આદેશની પણ અવગણના કરી હતી. શું છે સમગ્ર વિવાદ?ગત 21 ડિસેમ્બર 2025ના રોજ ધોરણ 1 થી 5 ના વિદ્યાસહાયકો માટેની ટેટ-1 પરીક્ષા યોજાઈ હતી. જેમાં અંદાજે 91,628 વિદ્યાર્થીઓએ પોતાની કિસ્મત અજમાવી હતી. 30 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થયેલા પરિણામોએ સૌને ચોંકાવી દીધા, કારણ કે 80,602 ઉમેદવારો નાપાસ થયા અને માત્ર 11,027 ઉમેદવારો જ પાસ થયા. વિવાદનું મુખ્ય કારણ 19 વિવાદાસ્પદ પ્રશ્નો છે. પ્રોવિઝનલ આન્સર કીમાં અનેક ભૂલો સામે આવતા વિદ્યાર્થીઓએ પુરાવા સાથે વાંધા અરજી કરી હતી. ઉમેદવારોનો આક્ષેપ છે કે કેટલાક પ્રશ્નોમાં બે-બે જવાબો સાચા હતા, તો ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. બોર્ડે માત્ર ગણ્યાગાંઠ્યા સુધારા કર્યા, પરંતુ મુખ્ય 19 પ્રશ્નોમાં કોઈ ફેરફાર ન કરતા 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ માત્ર 1 કે 2 માર્ક્સ માટે મેરિટમાંથી બહાર ફેંકાઈ ગયા છે. મંત્રીના આદેશની પણ અવગણનાવિદ્યાર્થીઓએ પોતાની વેદના રજૂ કરવા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા સુધી પહોંચ કરી હતી. મંત્રી પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓની હાજરીમાં જ બોર્ડના અધિકારીને ફોન કરીને તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. આમ છતાં, રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓએ મંત્રીના આદેશને ઘોળીને પી જઈ પરિણામમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. વિદ્યાર્થીઓ જ્યારે ફરી રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ “હાઈકોર્ટમાં જાઓ, અમે ત્યાં જ જવાબ આપીશું” તેવું ઉદ્ધત વર્તન કરી ન્યાયના દરવાજા બંધ કરી દીધા હતા. અમે ઉપકાર નહીં અમારો હક માંગીએ છીએ : વિદ્યાર્થી આગેવાનવિદ્યાર્થી આગેવાન રાજકુમાર જાટવાએ કહ્યું કે અમે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવીએ છીએ. મજૂરી કરીને ભણ્યા છીએ અને આ પરીક્ષા અમારા જીવન બદલવાની તક હતી. અમે કોઈ ઉપકાર નથી માંગતા, માત્ર અમારો હક માંગીએ છીએ. ભાષાકીય અસમાનતા અને અન્યાયવિદ્યાર્થીઓએ એક ગંભીર આક્ષેપ એ પણ કર્યો છે કે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં સમાન પ્રશ્નોમાં સુધારો કરવામાં આવ્યો, પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો નથી. આ ભેદભાવપૂર્ણ નીતિને કારણે ગુજરાતી માધ્યમના તેજસ્વી ઉમેદવારો પછડાયા છે. હવે આશા માત્ર હાઈકોર્ટ પરતંત્રની જીદ અને અધિકારીઓની મનમાની સામે હારીને હવે વિદ્યાર્થીઓએ પિટિશન નંબર 4878 સાથે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ લડત માત્ર માર્ક્સની નથી, પણ વર્ષોની મહેનત અને પરિવારના સપનાઓની છે. જો 19 પ્રશ્નોમાં યોગ્ય સુધારો થાય, તો હજારો પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે, શું ન્યાયતંત્ર આ ગરીબ વિદ્યાર્થીઓના પક્ષમાં ચુકાદો આપીને તેમની મહેનતને એળે જતી બચાવશે?
વડોદરામાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ વડોદરાના માંડવી ખાતે આવેલ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક બાબતને લઈ નિવેદનો કર્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને વખોડતા કહ્યું હતું કે, ભારત સરકારે બાંગ્લાદેશ સામે આંખ નહીં હવે જેટ અને ડ્રોન કાઢવા જોઈએ. દરેક સોસાયટીમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અપીલઆ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે , વડોદરાની દરેકે દરેક સોસાયટીએ દર મંગળ અને શનિવારે હનુમાન ચાલીસા ચાલે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં સો બસો કુટુંબમાં કલ્યાણ થાય તેવા મંત્ર શિખવાડવામાં આવે. સાથે ધર્મનું આચરણ કઈ રીતે કરવું તે શીખવાડવું જોઇએ. સાથે આખું કુટુંબ રોગ મુક્ત રહે તે બાબત સલાહ આપવી જોઈએ અને ચિંતામુક્ત અંગે પણ શીખવાડવું જોઈએ. એને હિન્દુ ગર સુખી અને સમૃદ્ધ ઘર આ અભયમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચલાવે છે. વધુમાં કહ્યું કે, હાલમાં વડોદરામાં સો જગ્યાએ હનુમાન ચાલીસા ચાલી રહી છે. અમારું લક્ષ છે કે તે પાંચસો સ્થળ સુધી લઈ જઈશું. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાંચસો સુધી લઈ જઈશું અને દેશમાં એક લાખ સ્થળો સુધી અમારું આયોજન છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારની ઘટનાઓને વખોડીબાંગ્લાદેશમાં હિન્દુઓની થઈ રહેલી હત્યા બાબતે જણાવ્યું કે,હિન્દુઓની હત્યા થઈ રહી છે, હિન્દુઓ દુઃખી છે કોઈ જોનારું નથી. ભારત સરકારે આંખ કાઢવી જોઈએ. વધુમાં કહ્યું કે, ન માત્ર આંખ જ નહીં કાઢવી જોઈએ પરંતુ મિરાજ, ડ્રોન અને જેટ પણ બાંગ્લાદેશ તરફ બહાર કાઢવા જોઈએ. બાંગ્લાદેશ પ્રત્યે સરકારનું કડક વલણ નથી જે કડક વલણ અપનાવવાની જરૂર છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા માટે મિલ્કત વેરા અને પાણી વેરા પર જાહેર કરવામાં આવેલી વ્યાજ માફી યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 11/02/2026 થી અમલમાં આવેલી આ યોજનાને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. અને માત્ર દોઢ દિવસમાં એટલે કે આજે બપોર સુધીમાં નાગરિકોએ રૂ. 2.57 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે મનપાની તિજોરી ભરાવાનું શરૂ થઈ ગયું છે અને લોકો વ્યાજ રાહતનો લાભ લેવા ઉત્સુક છે. મનપાની યોજના અંતર્ગત રહેણાંક અને બિન-રહેણાંક મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં રૂ. 5,000 અને પાણી વેરાના વ્યાજમાં રૂ. 5,000 મળી કુલ રૂ. 10,000 સુધીની માફી આપવામાં આવી રહી છે. આ વિશેષ રાહત યોજના તા. 31/03/2026 સુધી જ કાર્યરત રહેવાની છે. ત્યારે વધુમાં વધુ લોકોને લાભ લેવા વેરા વસુલાત શાખાએ નાગરિકોને અપીલ કરી છે. રાજકોટમાં મહાશિવરાત્રીના પાવન પર્વે કતલખાનાઓ અને માંસ-મટનનું વેચાણ બંધ રાખવા આદેશ રાજકોટ મહાપાલિકા દ્વારા તા. 26 ફેબ્રુઆરીનાં રોજ મહાશિવરાત્રી ના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના તમામ વિસ્તારોમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે ધાર્મિક આસ્થા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ ફરજિયાતપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિર્ણયનો હેતુ તહેવારની ગરિમા જાળવવાનો હોવાથી તેના કડક અમલીકરણ માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા સૂચના આપવામાં આવી છે. સંબંધિત તમામ વેપારીઓ અને નાગરિકોએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેની સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 ની કલમ 329 અને 336 તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય શાખા દ્વારા તમામ સંબંધિતોને આ બાબતની ગંભીર નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓ વચ્ચે આવતીકાલે બેડમિન્ટન ટુર્નામેન્ટ જામશે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં શારીરિક ફિટનેસ, શિસ્ત અને ટીમ સ્પીરીટની ભાવના કેળવાય તેવા હેતુથી રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા “રાજકોટ મહાનગરપાલિકા ઇન્ટર સ્ટાફ બેડમિન્ટન ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.13-02-2026ને શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે મવડી સ્થિત અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય પદાધિકારીઓએ આ ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રમતગમત એ કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.આ ટુર્નામેન્ટમાં મનપાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના અને કાયમી કર્મચારીઓ ભાગ લેશે, જે માટે અગાઉથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ વિજેતાને રૂ.5100, દ્વિતીય વિજેતાને રૂ.2100 અને તૃતીય વિજેતાને રૂ.1100 રોકડ પુરસ્કાર તેમજ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા વિકાસકાર્યોમાં ગુણવત્તા અને સુપરવિઝન મજબૂત બનાવવા સેમિનાર યોજાયો રાજકોટ શહેરમાં ચાલી રહેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં ગુણવત્તાયુક્ત કામગીરી અને અસરકારક સુપરવિઝન સુનિશ્ચિત કરવા માટે તાજેતરમાં દર્શન યુનિવર્સિટી ખાતે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ખાસ કરીને રોડ વર્ક, સ્ટ્રક્ચરલ વર્ક, ડ્રેનેજ અને વોટર સપ્લાય જેવા સિવિલ કાર્યોમાં ટેકનિકલ ધોરણો જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્વોલિટી કન્ટ્રોલ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવા મટીરિયલ ટેસ્ટિંગ, સાઇટ ઇન્સ્પેક્શન, દૈનિક પ્રોગ્રેસ મોનીટરીંગ અને પારદર્શક રિપોર્ટિંગ સિસ્ટમ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિટી એન્જિનિયરની ઉપસ્થિતિમાં ફિલ્ડ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એન્જિનિયર (A.E.), આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (A.A.E.) તથા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (D.E.E.) સહિતના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન શ્રેષ્ઠ પ્રેક્ટિસિસ અને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની કાર્યપદ્ધતિ અંગે સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. આ તાલીમથી મેદાની સ્તરે કાર્યરત સ્ટાફની તકનીકી સમજ વધશે, જેના પરિણામે મહાનગરપાલિકાના વિકાસકાર્યો વધુ સુદૃઢ અને ટકાઉ બનશે. કોંગ્રેસ આપને દ્વાર, મવડી વિસ્તારના લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ઠાલવ્યો આક્રોશ રાજકોટના વોર્ડ નં. 11 માં આવેલા મવડીમાં કોંગ્રેસ દ્વારા 'કોંગ્રેસ આપને દ્વાર, જનતાની વેદના' અભિયાન અંતર્ગત ઉગ્ર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓએ વિકાસના મોટા દાવાઓ વચ્ચે જીવાતી હાડમારીની વાસ્તવિકતા રજૂ કરી હતી. જનસંપર્ક દરમિયાન નાગરિકોએ મુખ્યત્વે બંધ સ્ટ્રીટ લાઈટોને કારણે ફેલાતા અંધારપટ અને તેનાથી પેદા થતી અસુરક્ષા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત, કચરાનું સમયસર કલેક્શન ન થતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને વારંવારની ફરિયાદ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓ અને પાણી ભરાવાની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ સત્તાધારી પક્ષ ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં નીતિઓ ફક્ત કાગળ પર છે અને જમીની હકીકત દયનીય છે. લોકો પાસેથી કરવેરા વસૂલવા છતાં જો પ્રાથમિક સુવિધાઓ પણ ન આપી શકાતી હોય તો તે તંત્રની નિષ્ફળતા છે. અગાઉ પણ વોર્ડ નં. 11 ના કોંગ્રેસના આગેવાનો દ્વારા આ મુદ્દે વિરોધ નોંધાવાયો હતો, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરની નવી સીરીઝના બાકી બચેલા ગોલ્ડ અને સિલ્વર નંબરો માટે ઈ-ઓક્શનની જાહેરાત કરવામાં આવી છે. જો તમે તમારા વાહન માટે ખાસ નંબર લેવા માંગતા હોવ તો તૈયાર થઈ જાઓ. આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-FA 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler -Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-FD 0001 થી 9999 ના બાકી બચેલા સિલ્વર અને ગોલ્ડ સિરીજના નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. જેમાં તા.19/2/2026 થી તા.21/2/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.21/2/2026 થી તા.23/2/2026 (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે. https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો, આ માટેની વિગતવાર સૂચનાઓ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml આપેલ છે, વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે, હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં નાણાં જમા કરવાના રહેશે, અરજદાર જો આ નિયત સમયમાં નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલ રકમ (Base Price)ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન પ્રકિયા દરમ્યાન ચૂકવાણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવાનાં રહેશે, હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારને પરત નાણાંની ચુકવણી હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીનાં નાણાં દિન-5 માં ભરપાઈ કરવા માટે SMS અને E-Mail થી જણાવવામાં આવશે. નિષ્ફળ અરજદારને હાલની મેન્યુલ પધ્ધતિ પ્રમાણે નાણાં પરત આપવામાં આવશે એટલે કે જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Card થી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારનાં જે તે ખાતામાં S.B.I E-Pay દ્વારા પરત કરવામાં આવશે, આ હેતુ માટે Online MIS થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે, અરજદારએ વિગતવાર પ્રક્રિયા અને શરતો અંગેની વધુ માહિતી Appendix-A થી મળશે. ઓનલાઈન ઈ-ઓક્શન ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા ભાવનગરના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રહેશે,
અલકનંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આદર્શ પ્રાથમિક વિદ્યાલય, હડદડમાં ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના સંવર્ધન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પાઠક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કથારૂપ રામાયણ, ચરિત્રરામાયણ, “મહાભારત કથારૂપ” અને “ક્રાંતિગાથા જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ કથારૂપ રામાયણ ભણશે, જ્યારે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ચરિત્રરામાયણ નો અભ્યાસ કરશે. ધોરણ 7 માટે “મહાભારત કથારૂપ” અને ધોરણ 8 માટે “ક્રાંતિગાથા” ના પાઠ નિર્ધારિત કરાયા છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આદર્શ જીવનમૂલ્યોનું સિંચન કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય નવી પેઢીને ચારિત્રવાન, સશક્ત, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને સંસ્કૃતિના રક્ષક બનાવવાનું છે. શાળાને આશા છે કે આ પાઠક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સત્ય, કર્તવ્યનિષ્ઠા, માતા-પિતા પ્રત્યે આદર, સમાજપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો વિકસાવવામાં મદદ મળશે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પાઠોનું નિયમિત વંચન અને ચર્ચાનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 29 માર્ચ, 2026થી એર ઇન્ડિયાની તમામ કામગીરીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે એર ઇન્ડિયાની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઇટ્સ એક જ ટર્મિનલ પરથી ઓપરેટ થશે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-1 ના વિસ્તરણ અને નવીનીકરણના કામને કારણે એરપોર્ટ સત્તાધીશો દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ ટર્મિનલ-1 (ડોમેસ્ટિક) પરથી ઓપરેટ થતી હતી પરંતુ, હવે સ્થિતિ બદલાશે. એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ હવે ટર્મિનલ-2 (T2) પરથી જ ટેક-ઓફ અને લેન્ડ થશેઆગામી 29 માર્ચ, 2026થી આ ફેરફાર અમલમાં આવશે. હવે એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ હવે ટર્મિનલ-2 (T2) પરથી જ ટેક-ઓફ અને લેન્ડ થશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એમ બંને વિભાગની ફ્લાઇટ્સ હવે T2 પરથી જ મળશે. ટર્મિનલ-1 પર ચાલી રહેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ અને સુવિધાઓમાં વધારો કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જો તમે 29 માર્ચ કે તે પછી અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરવાના હો તો એરપોર્ટ પહોંચતા પહેલા ટર્મિનલની વિગત ચોક્કસથી ચકાસી લેજો. જેથી, અંતિમ સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય. એરલાઇન્સ દ્વારા પણ મુસાફરોને મેસેજ અને ઇ-મેઇલ દ્વારા આ અંગે જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુરલીધર કોમ્પ્લેક્સમાં આવેલ હેર સલૂનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 4 શખસોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં એક સલૂનનો માલિક અને ત્રણ કર્મચારી છે. પ્રાથમિક દૃષ્ટિએ દારૂ પીવાની મહેફિલ ચાલી રહી હતીલક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીના સીધા નિર્દેશ હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને બાતમી મળી કે વુડા ચાર રસ્તા પાસે આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં સ્થિત ગાયત્રી હેર સલૂનમાં કેટલાક લોકો અંદર બેઠા દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં જોવા મળ્યું કે, મુરલીધર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગાયત્રી હેર સલૂનમાં ચાર વ્યક્તિઓ બેઠી હતી અને પ્રાથમિક દૃષ્ટિએ દારૂ પીવાની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે તમામ ચારેય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 4 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવીપકડાયેલા આરોપીઓમાં જીગ્નેશભાઈ ભગવાનદાસ વાળંદ (42 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ: મકાન નં. 196, આશીર્વાદનગર, બાપુની દરગાહ પાસે, ગોરવા, વડોદરા), હર્ષદભાઈ બાબુભાઈ લિંબાચીયા (40 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ: 06/353, નાલંદા પાર્ક, જુના હાઉસિંગ બોર્ડના મકાન, ગોરવા, વડોદરા), ચિરાગભાઈ ગોવિંદભાઈ લિંબાચીયા (39 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ: સી/41, વ્રજવિહાર સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોત્રી, વડોદરા) અને અનિરુધ્ધભાઈ ગૌતમભાઈ વાળંદ (25 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ: અંકોડીયાગામ, ગ્રામ પંચાયત પાસે, અંકોડીયા, તા-જી. વડોદરા)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ તરીકે માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વ્હિસ્કી 750 મિ.લી. (અડધી ભરેલી), ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી 750 મિ.લી. (અડધી ભરેલી), બડવાઇઝર મેગ્નમ બીયરના 4 ટીન (એક સીલબંધ અને ત્રણ અડધા ભરેલા) તથા 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે
વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાની રિસ્ટોરેશનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી 50 વર્ષને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ કારણોસર કામગીરીમાં થોડો વિલંબ થયો હોવાનું મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું હતું. આ કામગીરી આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. અંદાજિત 4.96 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. મહંત હરિઓમ વ્યાસે પગરખાં ન પહેરી વિરોધ કર્યો હતોવડોદરા શહેરની ઓળખ સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના પીલરમાં તિરાડો પડી ગઈ હતી. આ અંગે શહેરના આગેવાનો દ્વારા પણ અનેકવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ દરવાજાની રિસ્ટોરેશનની કામગીરી ઝડપથી કરવામાં આવે તે માટે મહંત હરિઓમ વ્યાસ દ્વારા પગરખાં નહીં પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના 306 દિવસ પૂર્ણ થયા. જો કે મહાનગરપાલિકા દ્વારા આ અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. માંડવી દરવાજાના પીલરની કામગીરી શરુ કરવામાં આવતા મ્યુન્સિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. વડોદરાના વારસાને જાળવી રાખવામાં આવશે મ્યુનિસિપલ કમિશન અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ કારણોસર આ કામગીરીમાં વિલંબ થયો છે. જો કે વડોદરાના વારસાને જાળવી રાખવા માટે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. શહેરની તમામ ઐતિહાસિક ઇમારતો કે જર્જરિત હાલતમાં છે તેની પણ સમારકામની કામગીરી શરુ કરવામાં આવશે. ગુગળ, ચૂનો અને મેથી સહિતના મટિરિયલનો ઉપયોગ કરાશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ દરવાજાનું નિર્માણ ગુગળ, ચૂનો, મેથી જેવા ઓરીજીનલ વસ્તુઓની મદદથી કરવામાં આવ્યું હતું. હાલમાં પણ આ જ ચીજવસ્તુઓના ઉપયોગથી દરવાજાનું રિસ્ટોરેશન કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે કે દરવાજાની ઓળખ ન બદલાય તે રીતે કામગીરી કરવામાં આવે. આગામી 27 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરવાજાનું રિસ્ટોરેશન આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ મોટી એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બહેનોએ સરકાર દ્વારા લાદવામાં આવતા ઓનલાઈન કામના બોજ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. પડતર માંગણીઓ મુદ્દે વધુ એક વખત ધરણા પ્રદર્શન યોજ્યા હતાગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ મોટી એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે વધુ એક વખત ધરણા પ્રદર્શન યોજ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી બહેનોએ રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા અવારનવાર નવી નવી મોબાઈલ એપ્લિકેશનો દાખલ કરવામાં આવે છે. આ એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી અને બાળકોની હાજરી પૂરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એમાંય નબળા મોબાઈલ નેટવર્કના કારણે કામગીરી સમયસર પૂર્ણ થતી નથી. જેના કારણે કાર્યકરોની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. સતત ઓનલાઈન રહેવાના દબાણથી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહેનોએ માંગ કરી છે કે, હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓના હિતમાં જે આદેશો આપવામાં આવ્યા છે તેનું સરકાર દ્વારા તાત્કાલિક અને અક્ષરશઃ પાલન કરવામાં આવે. આગામી સમયમાં આંદોલન વધુ આક્રમક બનાવવાની ચીમકીસંગઠન દ્વારા અગાઉ પણ પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, આજે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે બહેનો કામથી અળગી રહેશે. અમારી માંગણી છેકે, સરકાર વારંવાર બદલાતી જટિલ મોબાઈલ એપ્લિકેશનોમાંથી મુક્તિ આપવી. મોબાઈલ અને નેટવર્કની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું. ઉપરાંત હાઈકોર્ટના આદેશ મુજબ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવા તેમજ વધારાની કામગીરી અને ડેટા એન્ટ્રીના માનસિક ભારણને ઓછું કરવું. જો સરકાર દ્વારા તેમની માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ આક્રમક બનાવવાની ચીમકી પણ સંગઠન દ્વારા આપવામાં આવી છે.
સુરતના અઠવા પોલીસે પત્ની સાથે 17.46 લાખની છેતરપિંડી આચરનાર આરોપી પતિ મનીષ પ્રેમચંદ શાહની ધરપકડ કરી લીધી છે. કરિયાણાની દુકાન ચલાવતા મનીષે પોતાની જ પત્ની મોનિકાબેનની LIC પોલિસીમાં બોગસ સહીઓ કરી પૈસા હડપ કર્યા હતા. પત્ની દ્વારા ફરિયાદ નોંધાવ્યાના ટૂંક સમયમાં જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીની ધરપકડ કરી છે. નોમિનીમાં પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચઢાવી દીધુંધરપકડ કરાયેલા આરોપી મનીષે પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે વર્ષ 2021માં આ આખું ષડયંત્ર રચ્યું હતું. પત્નીની જાણ બહાર તેણે LICના ફોર્મમાં નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વ્હાઈટનર ફેરવી દીધું હતું અને પત્નીની સહીની નકલ કરી પોતાનું નામ ચઢાવી દીધું હતું. પોલીસે આરોપીના કબ્જામાંથી છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે, જેમાં તેની સંડોવણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે. બેંકના જોડિયા ખાતાનો કેન્સલ ચેક આપીને પત્નીના હકની રકમ હડપીઆ બનાવની વિગત મુજબ, આરોપીએ માત્ર નોમિનીમાં ફેરફાર જ નહોતો કર્યો, પરંતુ બેંકના જોડિયા ખાતાનો કેન્સલ ચેક આપીને પત્નીના હકની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. અઠવા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુના હેઠળ કડક કાર્યવાહી કરી છે. આરોપીની ધરપકડ થતા જ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. LICના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશેહાલમાં પોલીસ આરોપી પતિના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. જેથી એ જાણી શકાય કે LIC ઓફિસના કયા કર્મચારીએ તેને આ કૌભાંડમાં મદદ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સાક્ષી તરીકે સહી કરનાર જયેશ શાહ અને વર્ષ 2021માં કાર્યરત LICના લોન સેક્શનના અધિકારીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પત્નીની પરસેવાની કમાણી પર તરાપ મારનાર પતિ હવે કાયદાકીય સકંજામાં ફસાયો છે.
વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા વોર્ડવિઝાર્ડ મેડીકેર હોસ્પિટલના પૂર્વ CEO ડૉ. સંતોષકુમાર ગઢવી સામે વોર્ડવિઝાર્ડ મેડીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઇનાન્સ વિભાગના હેડે જ 28.47 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ DCB પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. અલગ-અલગ ત્રણ કરાર આધારિત સીઈઓ તરીકે નિમણૂક કરી હતીગોરવા વિસ્તારમાં રહેતા અને વોર્ડવિઝાર્ડ મેડીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઇનાન્સ વિભાગના હેડ મોહસીનખાન રહીમખાન પઠાણ (ઉંમર.42) એ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વોર્ડવિઝાર્ડ મેડીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની વડોદરામાં જેતલપુર રોડ તથા નડિયાદ, ભરૂચ અને દહેજ ખાતે હોસ્પિટલો ચલાવે છે. કંપનીએ ડૉ. સંતોષકુમાર હરીભાઈ ગઢવીને અલગ-અલગ ત્રણ કરાર આધારિત સીઈઓ તરીકે નિમણૂક કરી હતી. જાન્યુઆરી-2022માં વડોદરાના જેતલપુર રોડ પર નવી હોસ્પિટલ શરૂ કરવા માટે તેમને એસેટ્સ, મેડિકલ સાધનોની ખરીદી તથા હોસ્પિટલના વહીવટી કાર્યોની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. અલ્કાપુરી શાખામાંથી હોસ્પિટલ માટે બે લોન લીધી હતીએપ્રિલ-2025માં કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે, ડૉ. સંતોષકુમાર ગઢવીએ મોટાભાગની પર્ચેઝ ઓર્ડર્સ તા. 26/08/2023ના રોજ જ બનાવી દીધા હતા, જે શંકાસ્પદ જણાયા હતા. વધુ તપાસમાં કંપનીને અનેક નાણાકીય અનિયમિતતાઓ તથા છેતરપિંડીયુક્ત વ્યવહારોનો પર્દાફાશ થયો હતો, જે મુખ્યત્વે એસેટ્સ અને મેડિકલ સાધનોની ખરીદી સાથે સંકળાયેલા હતા. આ તમામ વ્યવહારો ડૉ. ગઢવીની દેખરેખ અને મંજૂરીથી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. 55 ઇંચના 4 સ્માર્ટ LED ટીવી સગેવગે કરી દીધાકંપનીએ એચડીએફસી બેંક, અલ્કાપુરી શાખામાંથી હોસ્પિટલ માટે એક 98.20 કરોડ અને બીજી 89.91 લાખ રૂપિયા એમ બે લોન લીધી હતી. આ લોનની રકમમાંથી ડૉ. સંતોષકુમાર ગઢવીએ વિવિધ કંપનીઓને મેડિકલ સાધનોની ખરીદી માટે એડવાન્સ તરીકે ચુકવણી કરી હતી. આ ઉપરાંત, તેમણે કંપનીના પેટી કેસમાંથી અંદાજે 20 હજાર રૂપિયાની રોકડ અલગ-અલગ બહાનાઓ હેઠળ મેળવી હતી, જેનો કોઈ હિસાબ આજદિન સુધી આપવામાં આવ્યો નથી. 19/12/2024ના રોજ અંકોડીયા હોસ્પિટલ માટે 55 ઇંચના 4 સ્માર્ટ LED ટીવી મંગાવવામાં આવ્યા હતા. આ ટીવી ખરીદીને કંપનીએ ચુકવણી કરી હતી, પરંતુ ડૉ. ગઢવીએ તેને અંકોડીયા હોસ્પિટલને પહોંચાડ્યા વિના ક્યાંક સગેવગે કરી દીધા હોવાનું જણાવાયું છે. કંપનીને અંદાજે 28.46 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતુંફરિયાદીએ જણાવ્યું છે કે, એપ્રિલ-2022થી જાન્યુઆરી-2025 દરમિયાન ડૉ. સંતોષકુમાર હરીભાઈ ગઢવીએ સીઈઓ તરીકે મળેલા અધિકારોનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હતો. તેમણે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી, કપટપૂર્વક નાણાંની ઉચાપત કરી હતી, ખોટા હિસાબો રજૂ કર્યા હતા. ખોટા નામે બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. હલકી ગુણવત્તાના/આઉટડેટેડ/રીફર્બિશ્ડ મેડિકલ સાધનો ખરીદીને વધુ પૈસા હસ્તગત કર્યા હતા અને આ રીતે કંપનીને અંદાજે 28.46 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આરોપી ડૉ. સંતોષકુમાર હરીભાઈ ગઢવીનું મૂળ પુણે (મહારાષ્ટ્ર) નો રહેવાસી છે, જ્યારે હાલ તેઓ (બોરસદ જી.આણંદ.) ખાતે રહે છે.
રાજ્યમાં આવનારી બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે મહત્વપૂર્ણ બેઠક યોજી અને પરીક્ષાઓ ભયમુક્ત અને પારદર્શક રીતે યોજાય તે માટે સૂચનાઓ આપી. મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિરાંતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા દ્વારા નિયુક્ત પરીક્ષા કેન્દ્રોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રોને ધ્યાનમાં રાખી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે પહોંચે ત્યાં સુધી પોલીસ તેમજ જરૂરી સ્થળોએ પેરા મિલેટ્રી ફોર્સ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને તાત્કાલિક મદદ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરાઈઆ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રોએ અવિરત વીજ પુરવઠો જાળવવો, સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવી તેમજ ગેરરીતિ રોકવા કડક દેખરેખ રાખવા નિર્દેશ અપાયા છે. રાજ્ય અને જિલ્લા સ્તરે હેલ્પલાઇન નંબર જાહેર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને તાત્કાલિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10માં અંદાજે 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,11,286 અને ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે. જેલમાં રહેલા વિદ્યાર્થીઓ પણ યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું. રખડતાં શ્વાનોના સર્વે મુદ્દે મંત્રીનો જવાબશૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં રખડતાં શ્વાનોના સર્વે કરવા અંગે કમિશનર શાળા કચેરી દ્વારા કરાયેલા પત્ર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, “આક્ષેપ કરવો કોંગ્રેસનું કામ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલની બહાર જઈને સર્વે કરવાનો નથી.” મંત્રીએ સ્પષ્ટતા કરી કે આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા અને માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યું છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. રાજ્યભરમાં હવે બોર્ડ પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કે છે અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ માટે નિર્ભય અને સુવ્યવસ્થિત પરીક્ષા માહોલ સુનિશ્ચિત કરવા દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
હિંમતનગરમાં UGVCLના કર્મચારીઓનો વિરોધ:વીજળી ક્ષેત્રના ખાનગીકરણ સામે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન
હિંમતનગર સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ વીજળી ક્ષેત્રના ખાનગીકરણ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન વીજ કંપનીની કચેરીઓ બહાર સૂત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યું હતું. આ હડતાળ મુખ્યત્વે વીજળી (સુધારા) બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 પાછી ખેંચવાની માંગ સાથે કરવામાં આવી છે. કર્મચારીઓ ખાનગીકરણ પ્રક્રિયા રદ કરવા અને વીજળી ક્ષેત્રમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, વીજળી ક્ષેત્રમાં નિયમિત કાર્યોના વ્યાપક આઉટસોર્સિંગ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમની મુખ્ય માંગણીઓમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ, નિયમિત પદો પર સીધી ભરતી અને આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવાનો સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને સંકલન સમિતિ હેઠળના યુનિયનો અને એસોસિએશનોએ ચિંતા વ્યક્ત કરી છે કે વીજળી ક્ષેત્રનું ખાનગીકરણ (વિતરણ, ઉત્પાદન અને ટ્રાન્સમિશન) ગરીબ ગ્રાહકો, નાના અને મધ્યમ કદના સાહસો તેમજ સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે. તેથી, ઉપરોક્ત બિલ અને નીતિ તાત્કાલિક પાછી ખેંચવી જરૂરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હિપાવડલી સ્થિત સુપ્રસિદ્ધ લટુરિયા હનુમાનજી મંદિર ખાતે 19 દેશભક્તોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આજે સવારે 11:00 કલાકે યોજાયો હતો. આશ્રમના મહંત અને મહામંડલેશ્વર જસુબાપુ ગુરુ જમનાદાસ બાપુના વરદ હસ્તે આ સન્માન કરવામાં આવ્યું હતું. 19 વીર સપૂતોને શાલ, ખેસ અને મોમેન્ટ અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આશ્રમના સેવક ભાવેશભાઈ ભુવાએ આર્મી જવાનો સહિત ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સન્માન કર્યું હતું. આ પ્રસંગે દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં કાત્રોડી સરપંચ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, બંસીભાઈ ગોંડલીયા, શંભુસિંહ સરવૈયા, સુજાનસિંહ સરવૈયા, પ્રદ્યુમનસિંહ સરવૈયા, ગુનુભા સરવૈયા, ગોરધનભાઈ રાદડિયા સહિત આશ્રમના સેવક ગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન રમેશ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
અમેરિકામાં રહેતા અને વડોદરા દીકરીના લગ્ન માટે આવેલા એક NRI પરિવારે કોસમોસ બેંકના લોકરમાં રાખેલા 45 તોલા સોનાના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ કરી છે. ખાતેદારનું માનીએ તો, 2024માં તેઓએ સોના અને ચાંદીના દાગીના લોકરમાં મૂક્યા હતા. જેમાં આજે ચેક કરતા ફક્ત ચાંદીના દાગીના જ મળ્યા છે. જે સોનાના દાગીના, લગડી અને સિક્કા હતા તે ગાયબ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બેંક લોકરમાં દાગીના ચોરી થયાની વાત ફેલાતા અન્ય ખાતા ધારકો પણ પોતાના લોકર ચેક કરવા બેંક પર પહોંચ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી હોય બેંકના બ્રાન્ચ મેનેજરે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. બેંક લોકરમાં મૂકેલા 45 તોલા સોનું ગાયબ થયાની NRIની ફરિયાદવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસમોસ કો ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા. તેઓના 1212A નંબરના લોકરમાં 45 તોલા સોનાના દાગીના મુકેલા હતા. આજે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહ તેઓના પત્ની સાથે બેંકના લોકર માંથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતા તેઓને શંકા ગઈ હતી. લોકરની પેટી ખોલીને જોતા સોના ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હોય તેમ જણાયું હતું. બેન્ક લોકરમાંથી દાગીના ચોરી થયાની ઘટના અંગે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસ દોડી ગઈ હતી અને બાપોદ પોલીસે બેંકમાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 18 તારીખે દીકરીના લગ્ન હોય પરિવાર દાગીના લેવા બેંક પર ગયો હતોફરિયાદી નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, મેં 2024માં કોસમોસ બેંકની વાઘોડિયા રોડ શાખામાં મારું લોકર અને એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારે બેંક દ્વારા શરત રાખવામાં આવી હતી કે જો હું ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરું તો જ મને લોકર ફાળવવામાં આવશે. મેં FD કરાવી અને લોકરમાં મારા તમામ સોનાના દાગીના મૂક્યા હતા. ત્યારબાદ હું અમેરિકા જતો હતો. મારી દીકરીના લગ્ન હોવાથી હું અમેરિકાથી વડોદરા આવ્યો હતો. આજે હું અને મારી પત્ની લોકર ખોલવા ગયા, ત્યારે જેવું લોકરનું બારણું ખોલ્યું કે તરત જ મારી પત્નીને શંકા ગઈ કે આમાં કોઈ છેડછાડ થઈ છે. તેઓએ જણાવ્યું હતું કે, તપાસ કરતા માલુમ પડ્યું કે સોનાના તમામ દાગીના ગાયબ હતા. અંદર દાગીના રાખવાની જે પેટી હોય, તેને મારેલું તાળું પણ ત્યાં નહોતું. કુલ 45 તોલા સોનાના દાગીના હતા. હું તો કંઈ રોજ બેંકમાં આવતો નથી. આ બાબતે બેંકના અધિકારીઓને જ ખબર હોય કે શું થયું છે. હું છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો છું. હું વારંવાર અહીં આવતો રહું છું. અગાઉ મારું લોકર બેંક ઓફ બરોડાની માંડવી શાખામાં હતું, પરંતુ ત્યાં આગ લાગવાની ઘટના બાદ અમારે લોકર અહીં શિફ્ટ કરવું પડ્યું હતું. આગામી 18 તારીખે મારી દીકરીના લગ્ન છે, તેથી અમે આજે દાગીના લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. લોકરમાં રાખેલા ચાંદીના દાગીના છોડી દેવાયા, ફક્ત સોનાની જ ચોરીતેઓએ કહ્યું હતું કે, બેંકવાળા તો હાથ ઊંચા કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અમને કંઈ ખબર નથી, તમે શું મૂક્યું હતું, એની અમને જાણ નથી હોતી. તેઓ તો એવું પણ કહી રહ્યા છે કે તમે ઘરે દાગીના રાખીને ખોટું બોલતા હોવ તો? પરંતુ મારી પાસે દરેક દાગીનાનું વિગતવાર લિસ્ટ છે. કયા બોક્સમાં કે કયા પાઉચમાં કઈ વસ્તુ છે, કોણે ગિફ્ટ આપી છે. એ બધી જ વિગતો મારી પાસે છે. જેમાં સોનાની લગડી, 10 સોનાના સિક્કા, બંગડીઓ, બુટ્ટી, નેકલેસ, લકી અને બ્રેસલેટ જેવી વસ્તુઓ સામેલ હતી.તેઓએ ઉમેર્યું હતું કે, ચોર બહુ હોશિયાર હતો. તેણે ચાંદીના દાગીનાને હાથ પણ નથી લગાડ્યો, માત્ર સોનાની જ ચોરી કરી છે. મેં બે વર્ષ પછી આજે જ લોકર ખોલ્યું હતું અને આ આઘાતજનક વિગતો સામે આવી છે. લોકરમાં ચોરીની વાત ફેલાતા અન્ય ગ્રાહક પણ પોતાના લોકર ચેક કરવા પહોંચ્યાગ્રાહક બંકિમભાઈએ જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડ પર કોસમોસ બેંકમાં લોકરમાંથી ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. મારું પણ લોકો રહ્યું હોવાથી હું લોકર ચેક કરવા આવ્યો છું. હજુ મારો વારો નથી આવ્યો. મારો 13મો નંબર છે. મારા પત્ની આવી જાય એટલે અમે સાથે મળીને લોકર ચેક કરીશું. લોકરમાંથી ચોરી થાય તો ડર તો લાગે જ ને. ગ્રાહક નિપાબેને જણાવ્યું હતું કે, અત્યારે મમ્મીનો ફોન આવ્યો એટલે હું અહીં આવી છું. મારી મમ્મીનું લોકર અહીં છે, તેના માટે હું આવી છું. અમને મેસેજ મળ્યો હતો કે, આ લોકરમાં કંઈક થયું છે, તો તમે લોકો આવી જાઓ. એટલે અમે અત્યારે અહીં જોવા માટે આવ્યા છીએ. હજુ અંદર જઈને જોવું પડશે, અત્યારે અમારો નંબર આવ્યો નથી. અમે લાઇનમાં જ છીએ. તપાસ ચાલુ હોય બ્રાન્ચ મેનેજરનો ટિપ્પણી કરવાનો ઈન્કારધી કોસમોસ કો ઓપરેટિવ બૅન્ક બ્રાન્ચ મેનેજર ઋતુલ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. હાલ અમે આ વિશે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી શકીએ નહીં. આ સંવેદનશીલ બાબત છે. અમારી બેંક ઓથોરિટીની પરવાનગી વગર હું અત્યારે કોઈ જ નિવેદન આપી શકું તેમ નથી. NRIની રજૂઆત બાદ પોલીસે તપાસ હાથ ધરીઆ મામલે બાપોદ પોલીસ સ્ટેશનન પીઆઇ એમ કે ગુર્જર એ જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝને બેંકના લોકરમાં ચોરી થઈ હોવાની રજૂઆત કરતા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે શરૂ કરેલી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ₹3.38 કરોડથી વધુનો મિલકત વેરો ઓનલાઈન વસૂલ્યો છે. આ ડિજિટલ પ્લેટફોર્મ નગરજનોને ઘરે બેઠા કે ઓફિસેથી વિવિધ સેવાઓનો લાભ લેવામાં મદદરૂપ થઈ રહ્યું છે. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ તબક્કામાં જ આ વેબસાઈટ અને એપ્લિકેશનનું વિમોચન કરાયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં કુલ ₹3,38,38,591 જેટલો મિલકત વેરો નાગરિકો દ્વારા મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ થકી સફળતાપૂર્વક ભરપાઈ કરવામાં આવ્યો છે.વેરા ભરપાઈ ઉપરાંત, નાગરિકો માટે ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં કુલ 14,316 જેટલી ફરિયાદો મહાપાલિકામાં નોંધાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ અંદાજિત 4,926 ફરિયાદો મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ મોરબી મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા કરવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાનો ઉદ્દેશ્ય છે કે નાગરિકો આ ઓનલાઈન સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરે. નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં જરૂરી હેલ્પલાઈન નંબર પણ દર્શાવવામાં આવ્યા છે.
‘ઈટાલિયા છે ત્યાં સુધી AAP આગળ નહીં આવે’ AAPના રાજુ કરપડાએ પોણા 4 મહિના જેલમાં રહીને બહાર આવ્યા પછી કર્યા કે ‘ઈટાલિયા છે ત્યાં સુધી AAP આગળ નહીં આવે’સાથે તેને ઈટાલિયા-સોરઠિયા ભાજપની B ટીમ ગણાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવા લેબર કોડ સામે બેંકકર્મચારીઓ રોડ પર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા કાયદાને લઈને દેશનાં મોટાં બેંક સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યુ છે ... હડતાળને કારણે રાજ્યભરના 15,000 કરોડ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. બેંકકર્મીઓએ ‘ગવર્નમેન્ટ કી હિટલરશાહી, નહીં ચલેગી, , ‘લેબર કોડ વાપસ લેના હોગા’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજા દિવસે ભવનાથમાં ભાવિકોનું કીડીયારુ ભવનાથ મહાદેવના મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન માટે સાધુઓએ ધૂણી ધખાવી તો દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી 'શિવમય' બની આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અઠવાડિયામાં 15-20 ગાયનાં માથા કપાયા મહેસાણાના કડીમાં ગૌરક્ષકોને દરોડામાં ગાયના કતલ કરેલા મૃતદેહ મળ્યા હતા .. ગૌરક્ષકોએ કહ્યું, 15-20 ગાય કાપેલી હાલતમાં મળી હતી, આ ગાયોના પગ કપાયેલા હતા. લગભગ એક અઠવાડિયાથી આ વિસ્તારમાં આવું ખોટું કૃત્ય થાય છે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબીના સાહિલનું નામ યુદ્ધકેદી યાદીમાં નથી યુક્રેનમાં ફસાયેલા મોરબીના સાહિલ માજોઠિયાની માતાએ કહ્યુ કે રશિયા અને યુક્રેન વચ્ચે તાજેતરમાં થયેલી યુદ્ધ કેદીઓની અદલાબદલીની યાદીમાં સાહિલનું નામ સામેલ નથી. સાહિલનો વધુ એક ભાવુક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવારની પૂછપરછ કરી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગાઈ તોડી એટલે પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું અમદાવાદમાં એક યુવકે સગીરાની હત્યા કરી દીધી હતી. બન્નેની બે દિવસ પહેલા જ સગાઇ તુટી હતી... વાત કરવાનુ કહી સાથે લઇ ગયો અને અણીવાળો પથ્થર મારી મોઢું છૂંદી નાખ્યું ... સગીરાના પિતાને ફોન કરી જાણ કરી કે તમારી દીકરીને પતાવી દીધી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકની શ્વાસનળીમાં ફસાયેલો બોરનો ઠળિયો દૂર કરાયો એસએસજી હોસ્પિટલના તબીબોએ 8 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલા ઠળિયાને બહાર કાઢ્યો 6 મહિનાથી બોરના ઠળિયો ફસાયેલો હતો. માતા- પિતાને જાણ ન હતી.. રાજસ્થાનથી વડોદરા રિફર કરાયો .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7.97 કરોડના ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપાયા અમદાવાદ SOGએ 7.97 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી યુવતીએ ડ્રગ્સ માફીયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે ચારની ફૌજ તૈયાર કરી હતી .. આ ગાંજો થાઈલેન્ડથી ગાંજો મંગાવ્યો છે ..આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મળવા આવેલા પ્રેમીની પરિણીત પ્રેમિકાએ હત્યા કરી દીવના સાઉદવાડી રાત્રે મળવા આવેલા પ્રેમીની પ્રેમિકાએ જ હત્યા કરી નાખી બન્ને વચ્ચે ઝગડો થતાં ગળાફાંસો આપી દીધો હતો. છેલ્લા નવ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ સંબધ હતો પ્રેમિકા 3 સંતાનોની માતા છેઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રસોડામાં સિલિન્ડર ફાટ્યો, એપાર્ટમેન્ટમાં આગ બારડોલીમાં રત્નકળશ એપાર્ટમેન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગેલી આગમાં વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. આગથી બચવા માટે વૃદ્ધે બીજા માળેથી નીચે ઝંપલાવ્યું હતું, પરંતુ પટકાતા તેમને ઘટનાસ્થળે જ દમ તોડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરતમાં નવા સિટી બસ રૂટનું લોકાર્પણ:કનસાડ-સચિન-ઉન-આભવાના નાગરિકોને મળશે આ રૂટની સુવિધા
સુરત શહેરમાં જાહેર પરિવહન સેવાને વધુ વિકસિત બનાવવાના આશય સાથે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ-30 (કનસાડ-સચિન-ઉન-આભવા) ના રહીશોની લાંબાસમયની માંગણીને ધ્યાને રાખીને નવા સિટી બસ રૂટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. અનેક રજૂઆતો બાદ રુટ ફળવાયોઆ વિસ્તારમાં જાહેર પરિવહનની સુવિધા વધારવા માટે સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને વોર્ડના કોર્પોરેટરશ્રીઓ દ્વારા સુરત મહાનગરપાલિકામાં સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખાસ કરીને 'અનુપમ સિટી' અને 'ડુંડી ગામ'ની સામે (જીઆર-બુઢિયા માર્ગ) સુધી બસ સેવા લંબાવવાની જરૂરિયાત હતી. આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપી SMC દ્વારા આ રૂટને મંજૂરી આપવામાં આવી છે. રૂટ નંબર 505માં ફેરફારઆજે 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 03:30 કલાકે અનુપમ સિટી પાસે આ નવા રૂટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં કાર્યરત સિટી બસ રૂટ નં. 505, જે ચીકુવાડીથી બુઢિયા ગામ સુધી દોડે છે, તેમાં ફેરફાર કરી આ નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ, જાહેર પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે, લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી અને અન્ય કોર્પોરેટરો તેમજ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કુલ 452 કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરતસુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા 108 કિ.મી.ના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત વિવિધ 13 રૂટ પર 367 BRTS બસ કાર્યરત છે તથા વિવિધ 45 સીટી બસ રૂટ પર 387 બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ 452 કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે 2 લાખથી વધુ મુસાફરો દ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. આ રુટ શરુ થતા આ વોર્ડ નંબર-30ના રહેવાસીઓને ધંધાકીય તથા નોકરીયાત વર્ગને જાહેર પરિવહન સેવાનો લાભ મળી રહેશે અને તેઓને બામરોલી-પડિસરાની સીધી કનેકિ્ટવિટી મળી રહેશે.
છકડીયા ચોકડી પાસે બે બાઇક અથડાઈ:મહુધાના દંપતીને ગંભીર ઈજા પહોંચી
પંચમહાલ જિલ્લાના છકડીયા ચોકડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં મહુધાના એક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહુધાના રહેવાસી ભીમાભાઇ ઝાલા તેમની પત્ની લીલાબેન સાથે બાઇક પર સંતરામપુર ખાતે પોતાની સાસરીમાં જઈ રહ્યા હતા. છકડીયા ચોકડી નજીક પહોંચતા સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, દંપતી રોડ પર પટકાયું હતું. લીલાબેન ઝાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે ભીમાભાઇ ઝાલાને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવતીકાલે, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરી છે. જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના કાર્યકરોની જેમ વર્તી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સોલંકીએ જણાવ્યું કે, ખોટા ફોર્મ 7 રજૂ કરીને હજારો લોકોના મતાધિકાર છીનવી લેવાનું ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે. આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે કોંગ્રેસને નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. આ આંદોલન અંતર્ગત જિલ્લામાં રોડ, રસ્તા અને હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ સંવિધાન અને લોકશાહીને બચાવવા માટે દરેક કોંગ્રેસ કાર્યકર, આગેવાન અને પદાધિકારીઓ અને સામાન્ય જનતાને પણ આ સંઘર્ષમાં જોડાવા નમ્ર નિવેદન કરવામાં આવ્યું છે.
'ટ્રમ્પ ભલે બોલતા હોય પણ ભારતે....', ઓઈલ અંગે ભારે હોબાળા વચ્ચે રશિયાના વિદેશમંત્રીનું મોટું નિવેદન
India-US trade deal: ભારત અમેરિકા ટ્રેડ ડીલ બાદ રશિયામાં ભારત તેલ ખરીદશે કે નહીં તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવએ સ્પષ્ટ જણાવ્યું છે કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કોઈએ પણ એ ઘોષણા નથી કરી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરશે. અમેરિકા ટેરિફ લગાવીને ભારત સહિત અન્ય દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે. અને જે તે દેશો રશિયા પાસેથી તેલની ખરીદી ન કરે તેના માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે.'
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઈકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે
Bombay High Court On Vijay Mallya : બોમ્બે હાઈકોર્ટમાં આજે (12 ફેબ્રુઆરી) ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધની બે અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં માલ્યાને ચેતવણી આપવાની સાથે તેના વકીલને પણ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. ભારત આવશે ત્યારે જ સુનાવણી હાથ ધરાશે : કોર્ટ બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો આપતા આકરા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યારે વિજય માલ્યા ભારત આવશે ત્યારે જ તેના વિરુદ્ધની અરજીઓ પણ સુનાવણી હાથ ધરાશે. કોઈપણ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરીને ભારતીય કોર્ટ પાસેથી રાહતની આશા ન રાખી શકે.
દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદ સમાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ એક મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત સિવિલમાં 'નોન-કાર્ડિયાક એન્જિયોગ્રાફી' સેવાની શરૂઆત કરવામાં આવી છે. હવે મગજની નસો, હાથ-પગની લોહીની નસોમાં બ્લોકેજ કે કિડની સંબંધિત નસોની તપાસ પણ અત્યાધુનિક મશીનો દ્વારા થઈ શકશે. આ સુવિધા શરૂ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મુક્તિ મળશે. કેથલેબ મશીનને આજે અમે કાર્યરત કર્યુંધારિત્રી પરમાર (સુપ્રિટેન્ડેન્ટ, સુરત સિવિલ હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટીના પ્રોજેક્ટ હેઠળ એક કેથલેબ મશીનને આજે અમે કાર્યરત કર્યું છે. કેથલેબ આમ તો બધાને ખબર હશે કે એન્જિયોગ્રાફી કરવા માટે આપણે જતા હોઈએ છીએ પણ એન્જિયોગ્રાફી હાર્ટ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જરૂરી પ્રોસીજર તરીકે વપરાય છે. અમે કાર્ડિયાક સેવાઓ તો શરૂ નથી કરી શક્યા પરંતુ ન્યુરોલોજી અને અધર પેરિફેરલ વેસલ્સના સ્ટડી માટે કેથલેબનું આજે ઉદઘાટન કર્યું છે. અને આજે ન્યુરોલોજી અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના સહયોગથી આજે બે પેશન્ટની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટીના હોસ્પિટલ તરીકે પણ ડેવલોપ કરવા માંગે છે. આજની તારીખમાં સુરત સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી તરફથી એટલે કે કિડની આઈ.કે.ડી. કિડની હોસ્પિટલની અંદરમાં લિથોટ્રિપ્સીની સેવા શરૂ થઈ ચૂકી છે અને ડાયાલિસિસ સેન્ટર પણ અમારું અપગ્રેડ થઈ રહ્યું છે. દરેક પેશન્ટને કાર્ડિયાક સેવાઓ પણ સુરત સિવિલમાં જ મળશેકાર્ડિયાક સેવાઓ માટે અમે કાર્યરત છીએ જેના માટે અમને સ્કિલ્ડ સ્ટાફ મળશે એ પછી જ અમે કાર્ડિયાક સેવાઓ શરૂ કરી શકીશું પણ અમારા મિશનમાં છે કે, અમે આ બાબતમાં આગળ વધીએ અને અહીંના દરેક પેશન્ટને કાર્ડિયાક સેવાઓ પણ સુરત સિવિલમાં જ આપી શકીએ, જેથી તેમને યુ.એન. મહેતા કે અમદાવાદ અથવા તો પ્રાઈવેટમાં વધારે ખર્ચ ન કરવો પડે. આજની તારીખમાં લિથોટ્રિપ્સીની આ શરૂ થયેલ એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટિંગની સેવાઓ ફ્રી છે. ગુજરાત સરકારની સૂચના પ્રમાણે એમાં ચેન્જિસ થઈ શકે છે પરંતુ અમારી પાસે લિમિટેડ સ્ટાફ હોવાથી અમે આ સેવાઓને ફક્ત એપોઈન્ટમેન્ટ બેઝથી જ કરવા માંગીએ છીએ. આશા રાખીએ કે ફૂલ ફ્લેજ સ્ટાફ મળશે તો અમે આને 24 કલાક માટે અનપ્લાન્ડ સર્જરી પણ ચાલુ કરી શકીશું. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રક્રિયાનો ખર્ચ ₹5,000 થી ₹50,000 સુધીનો હોય છેહોસ્પિટલમાં કેથલેબ મશીન દ્વારા વિવિધ પ્રકારની એન્જિયોગ્રાફી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. આ મશીન શરીરની ધમનીઓ (arteries) અને નસો (vessels) માં રહેલા બ્લોકેજની તપાસ અને રિપેરિંગ માટે અત્યંત ઉપયોગી છે. હાલમાં આ સેવા ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગના સહયોગથી શરૂ કરાઈ છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રક્રિયાનો ખર્ચ ₹5,000 થી ₹50,000 સુધીનો હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સેવા તદ્દન મફત આપવામાં આવશે. કિડની અને યુરેટરના પથરીને ઓપરેશન વગર તોડવાની પ્રક્રિયા મફતમાં કરવામાં આવે છેઆ મશીન કાર્ડિયાક દર્દીઓ માટે પણ મહત્વનું છે, જેનો ઉપયોગ બ્લોકેજ ડાયગ્નોસ કરવા, વાલ્વ બદલવા કે રિપેર કરવા માટે થશે. હાલમાં સ્ટાફની મર્યાદાને કારણે આ સેવા એપોઈન્ટમેન્ટ અને પ્રાયોરિટી ધોરણે ચલાવવામાં આવશે. ભવિષ્યમાં તેને ફૂલ-ફ્લેજમાં શરૂ કરવાનું આયોજન છે. હોસ્પિટલમાં યુરોલોજી વિભાગને સુપર સ્પેશિયાલિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. લિથોટ્રિપ્સીની સેવા શરૂ થઈ છે, જેમાં કિડની અને યુરેટરના પથરીને ઓપરેશન વગર તોડવાની પ્રક્રિયા મફતમાં કરવામાં આવે છે. ન્યુરોલોજી અને ન્યુરો સર્જરી વિભાગને પણ વધુ સક્ષમ બનાવવામાં આવી રહ્યો છે, જેથી સુરતના દર્દીઓને અમદાવાદ સુધી લાંબા થવું ન પડે. મશીન દ્વારા વધુમાં વધુ દર્દીઓની તપાસ અને મદદ થઈ શકશેડો. પ્રયાગ મકવાણા (ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર) એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં જે કેથલેબ મશીન શરૂ કરવામાં આવ્યું છે, તે ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ આધુનિક છે. તેના દ્વારા નીચે બ્રેઈન અને સ્પાઈનલ કોર્ડની નસોની એન્જીયોગ્રાફી, કાર્ડિયાક (હૃદયની) એન્જીયોગ્રાફી, હાથ અને પગની લોહીની ધમનીઓની તપાસ કરી શકાય છે.આ મશીન દ્વારા દર્દીઓને મળનારી રાહત વિશે તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ દર્દીને લકવો થયો હોય અને નસો સાંકડી થઈ ગઈ હોય, તો લોહીનું પરિભ્રમણ સુધારવા માટે સ્ટેન્ટ મૂકી શકાય છે. જો મગજમાં નસ નબળી હોવાને કારણે બ્લીડિંગ થતું હોય, તો કોઈલ મૂકીને તે બ્લીડિંગ અટકાવી શકાય છે. ન્યુરોલોજીમાં સ્ટ્રોક સિવાયના પણ અનેક દર્દીઓ આવતા હોય છે, પરંતુ આ મશીન દ્વારા વધુમાં વધુ દર્દીઓની તપાસ અને મદદ થઈ શકશે.
દસાડા પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય.જી. ઉપાધ્યાયની સાયલા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. આ બદલી વાલેવડા ગામે ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના મામલા બાદ થઈ છે. તેમની બદલીના પગલે દસાડામાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ગત 23 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. ગામમાં ચાલતા દારૂના વેચાણ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે મામલો બિચક્યો હતો. ગ્રામજનોએ પી.આઈ. વાય.જી. ઉપાધ્યાય પર પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક અને મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ દોષિત પોલીસ અધિકારીઓ સામે એફ.આઈ.આર. દાખલ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વાલેવડા પોલીસ અને ગ્રામજનો વચ્ચેના આ ઘર્ષણના મામલા બાદ આખરે દસાડા પી.આઈ. વાય.જી. ઉપાધ્યાયની સાયલા પોલીસ મથકે બદલી કરવામાં આવી હતી. તેમની બદલીના પગલે દસાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ફારૂકખાનજી મલીક, પૂર્વ સરપંચ દિલાવરભાઈ બસીર મલીક, દસાડા ગામના દરેક સમાજના આગેવાનો, વેપારીઓ, આજુબાજુના ગામના લોકો અને વણોદ ગામના સલાહકાર સમિતિના ચેરમેન લાલજીભાઈ શીવાભાઈ પટેલ સહિતના આગેવાનોએ પી.આઈ. ઉપાધ્યાયની મુલાકાત લીધી હતી. તેમણે ફુલહાર અને શુભેચ્છાઓ સાથે ફોટો અર્પણ કરી તેમની સારી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. સ્થાનિક લોકો અને વેપારી વર્ગમાં ચર્ચા હતી કે એક ઉમદા અને કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે તેમણે આ વિસ્તારમાં સારી કામગીરી કરી હતી. તેમની બદલીથી આવા અધિકારીની ખોટ વર્તાશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
રાજ્યના આવનારા બજેટને લઈને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ને ઉત્પાદન વધારવા ચીફ સેક્રેટરીએ સ્પષ્ટ ટકોર કરી હતી. કેબિનેટ સેક્રેટરી સ્તરની બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા તેમણે કહ્યું કે હાલ થઈ રહેલા ઉત્પાદનનો વ્યાપ વધારવો સમયની જરૂરિયાત છે. વધુ પ્રોડક્શન કરશો તો રોજગારી વધશેચીફ સેક્રેટરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “વધુ પ્રોડક્શન કરશો તો રોજગારી વધશે, રોજગારી વધશે તો નિકાસમાં વધારો થશે અને નિકાસ વધશે તો રાજ્યની આવકમાં સીધો વધારો થશે.” તેમણે અધિકારીઓને સૂચના આપી કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ઉદ્યોગો સજ્જ રહે. ઊર્જા, કેમિકલ્સ અને પોર્ટ સેક્ટર પર ખાસ ભારબેઠકમાં ખાસ કરીને ઊર્જા, કેમિકલ્સ અને પોર્ટ સેક્ટરમાં ગુજરાતના વધતા ફાળાને વધુ મજબૂત બનાવવા ચર્ચા થઈ. રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને નિકાસક્ષમ ઉત્પાદન વધારવા માટે વ્યૂહરચના ઘડવા સૂચના આપવામાં આવી. બજેટ પૂર્વે યોજનાઓનો રિવ્યુઆવનારા બજેટ પહેલા સરકારની વર્તમાન યોજનાઓનો વિગતવાર રિવ્યુ કરવામાં આવ્યો. વિભાગોએ સૂચવેલી નવી યોજનાઓ અંગે પરામર્શ થયો અને જરૂરી નાણાંકીય જોગવાઈ અંગે પણ ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રે વધુ રોકાણ અને બજેટમાં વધારાની જોગવાઈ અંગે ચર્ચા કેન્દ્રસ્થાને રહી. રાજ્યને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે સોલાર, વિન્ડ અને હાઇડ્રોજન એનર્જી ક્ષેત્રે પ્રોત્સાહનાત્મક પગલાં લેવા સંકેત મળ્યા છે. ચોમાસું આયોજન અને પાક વીમા પર ટેક્નિકલ રિપોર્ટઆ બેઠક દરમિયાન આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન અંગે ટેક્નિકલ રિપોર્ટ રજૂ થયો. કૃષિ ક્ષેત્રને અસરકારક સુરક્ષા આપવા પાક વીમા યોજના અંતર્ગત પણ ટેક્નિકલ પ્રસ્તુતિ કરવામાં આવી. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટમાં ઔદ્યોગિક વૃદ્ધિ, ગ્રીન એનર્જી, કૃષિ સુરક્ષા અને રોજગારી સર્જન પર ખાસ ફોકસ જોવા મળશે. રાજ્યની આર્થિક ગતિને વધુ મજબૂત બનાવવા માટે PSU સહિત તમામ ક્ષેત્રોને સક્રિય બનાવવાના સંકેત મળ્યા છે.
પાટણની વેદ ટાઉનશીપમાં 26 મકાનધારકોને ઓટલા અને ઢાળના દબાણ દૂર કરવા પાટણ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. આ મામલે વિવાદ સર્જાયો છે, જ્યાં રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી જણાવ્યું છે કે, આ દબાણ નથી, પરંતુ બિલ્ડરે રોડનું લેવલ નીચું કરતાં ઊભી થયેલી સ્થિતિ છે. નગરપાલિકાએ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ વેદ ટાઉનશીપના પશ્ચિમ બાજુના 26 મકાનધારકોને રસ્તાની જમીન પર ઓટલા અને ઢાળ બનાવી દબાણ કરવા બદલ નોટિસ આપી હતી. આ નોટિસમાં 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા અથવા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું હતું. જેના પગલે, ટાઉનશીપના રહીશોએ પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો. રહીશોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, અગાઉ સોસાયટીના મકાનો અને રોડનું લેવલ સમાંતર હતું. જોકે, પાછળથી બનતી નવી સોસાયટીઓના બિલ્ડરે વરસાદી પાણીના નિકાલ માટે રોડનું આશરે 2 ફૂટ જેટલું ખોદકામ કરીને લેવલ નીચું ઉતારી દીધું હતું. બિલ્ડરે પોતાની સોસાયટીને બચાવવા માટે રોડની માટી ખોદી લેતા રહીશોને પોતાના મકાનમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. આથી, હાલ જે ઓટલા કે ઢાળ દેખાય છે તે કોઈ દબાણ નથી, પરંતુ રોડ નીચો થઈ જવાથી ઊભી થયેલી અનિવાર્ય જરૂરિયાત છે. રહીશોએ વધુમાં દલીલ કરી છે કે મકાન પાસેના ખેતરના જૂના લીમડાઓ આજે પણ પુરાવા તરીકે મોજૂદ છે, જે જમીનના મૂળ લેવલની સાબિતી આપે છે. ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાતા હોવાથી શાળાએ જતા બાળકો અને રાહદારીઓ આ ઓટલાનો ઉપયોગ ફૂટપાથ તરીકે પણ કરે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, અધિકારીઓ રૂબરૂ સ્થળ તપાસ કરી વાસ્તવિકતાની ખાતરી કરે અને બિલ્ડર દ્વારા કરાયેલા ખોદકામને કારણે ઊભી થયેલી સમસ્યાનો ન્યાયિક ઉકેલ લાવવામાં આવે. ગમન સિંહ રાજપૂત સહિત સોસાયટીના રહીશોએ આ મામલે પાલિકા પ્રમુખને રજૂઆત કરી છે.
મોરબી મનપાએ જોખમી કોનાકાર્પસ વૃક્ષો હટાવ્યા:અયોધ્યાપૂરી રોડ અને સૂરજબાગમાંથી પાંચ વૃક્ષો દૂર કરાયા
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખાએ અયોધ્યાપૂરી રોડ અને સૂરજબાગ વિસ્તારમાંથી પાંચ જોખમી કોનાકાર્પસ વૃક્ષો દૂર કર્યા છે. આ કાર્યવાહી જાહેર સુવિધાઓ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરના જાહેર બાગ-બગીચાઓ અને રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરે છે. તાજેતરમાં, સાઇટ વિઝિટ દરમિયાન સૂરજબાગ વિસ્તારમાં ત્રણ અને અયોધ્યાપૂરી રોડ પર બે કોનાકાર્પસ વૃક્ષો જોખમી જણાયા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. કોનાકાર્પસ વૃક્ષો જાહેર સુવિધાઓ અને નાગરિકોની સુરક્ષા માટે હાનિકારક હોવાનું નોંધાયું છે. તેની જડ પ્રણાલી ઝડપથી અને વિસ્તૃત રીતે ફેલાતી હોવાથી રોડ, ફૂટપાથ અને પેવર બ્લોકને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, તે ભૂગર્ભ પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને ગટર વ્યવસ્થાને પણ અસર કરી શકે છે. વધુમાં, આ વૃક્ષોની ઘન વૃદ્ધિ અને ઊંચાઈને કારણે ભારે પવન દરમિયાન તેની ડાળીઓ તૂટીને પડવાની શક્યતા રહે છે, જે જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આ તમામ વિગતો ધ્યાને આવતા મનપાની ગાર્ડન શાખાએ આ જોખમી વૃક્ષોને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. મોરબી શહેરમાં હરિયાળી જળવાઈ રહે અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ બને તે માટે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષિત પ્રજાતિના વૃક્ષોનું યોગ્ય સ્થળો પર વાવેતર પણ કરવામાં આવે છે.
અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે આજે રિજિયોનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ DGP, અમદાવાદ પોલીસ કમિશનર, ગાંધીનગર અને અમદાવાદ રેન્જ IG, JCP અને DCP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અન્ય જિલ્લાના પોલીસ વડા વર્ચ્યુઅલી જોડાયા હતા.આ કોન્ફરન્સમાં વધતા વાહનવ્યવહારને કારણે થતી ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા,સાયબર ફ્રોડ ઘટાડવા અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા સહિતની બાબતો પર ચર્ચા થઇ હતી. ગુનાખોરીના આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું ઇન્ચાર્જ DGP K L N રાઉએ જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં વર્ષ 2025ના ક્રાઈમ પ્રોફાઈલ અને જાન્યુઆરી 2026ના ગુનાખોરીના આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સામે પોલીસ દ્વારા ગુનાઓના ડિટેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે.મિલકત સંબંધિત ગુનાઓમાં ડિટેક્શન રેટ હજુ વધુ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે 'નેત્રમ' અને ત્રિ-નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કવરેજ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી છે. ટ્રાફિક, સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સમસ્યા છેવર્ષ 2025માં થયેલા ક્રાઈમના એનાલિસિસ પરથી સામે આવ્યું છે કે હવે ટ્રાફિકની સમસ્યા,સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સમસ્યા છે, જેની સામે પોલીસ દ્વારા હવે પગલા લેવામાં આવશે. આજની કોન્ફરન્સમાં પણ આ બાબત પર ચર્ચા કરવામાં આવી છે. અન્ય જિલ્લાના પ્રશ્નો પર પર ચર્ચા કરવામાં આવી છે. પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે પ્રથમ તબક્કામાં 9,000 જવાનોની ભરતી પૂર્ણ સિનિયર સિટીઝન્સ સાયબર ફ્રોડના ગુનાઓનો વધુ ભોગ બનતા હોવાથી તેમનામાં જાગૃતિ ફેલાવવામાં આવશે. સાયબર એક્સપર્ટ્સ અને બેંક અધિકારીઓના સંકલનથી મ્યુલ એકાઉન્ટ્સ અંગે કેમ્પેન કરશે. નાર્કોટિક્સ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે પ્રથમ તબક્કામાં 9,000 જવાનોની ભરતી પૂર્ણ થઈ છે અને બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
વડોદરા શહેરના દંપતીને એજન્ટે યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ અને વિઝીટર વિઝા બનાવી આપવાના ખોટા વાયદા આપીને તેમની પાસેથી રૂપિયા 20 લાખ પડાવ્યા છે. એજન્ટ વિઝા બનાવી ન આપતા દંપતીએ એજન્ટ પાસે રૂપિયા પરત માંગ્યા હતા, રૂપિયા પરત ન આપતા તેની સામે મહિલાએ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ દર્શનમ એન્ટીલામાં રહેતા સ્નેહલબેન રવિકુમાર પટેલે તેમના પરિવાર સાથે વિદેશમાં નોકરી કરવા જવાનું પ્લાનીંગ કર્યું હતું. આ દરમિયાન વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ રોડ પર લીલેરીયા પેરામાઉન્ટમાં ઓફીસ ચલાવતા ઇમીગ્રેશન એચ પી.ઇન્ટરનેશનલ માલીક હીરલકુમાર કનુભાઈ પટેલ વિઝા કઢાવી આપવાનું કામ કરે છે. તેવું જાણવા મળ્યું હતું. મહિલાએ હીરલકુમાર પટેલને સંપર્ક કર્યો હતો અને તેમની ઓફિસે પતિ સાથે મળવા માટે ગયા હતાં. ત્યારે એજન્ટ હીરલકુમાર પટેલ સાથે યુકેના વર્ક પરમીટ વિઝા કઢાવી આપવા બાબને વાતચીત કરી હતી. ત્યારે વીઝા કઢાવી આપવાનો કુલ ખર્ચ રૂ. 22 લાખ થશે અને તમારું વિઝાનું કામ ત્રણ માસમાં પુરૂ કરી આપવા તેમજ ત્રણ વર્ષ માટેના વર્ક પરમીટ વિઝા કઢાવી આપીશ તેમ એજન્ટ એ જણાવ્યું હતું. ત્યારબાદ એડવાન્સ પેટે રૂ. 5 લાખ રોકડા માંગ્યા હતાં. જે રકમ એપ્રિલ 2025માં તેઓની ઓફીસે જઈને આપ્યાં હતાં. જે બાબતનો કરાર પણ તેણે કરી આપ્યો હતો. પરંતુ એજન્ટ હીરલકુમાર પટેલે વિઝાનું કામ કર્યું ન હતું અને તમારુ કામ થઈ જશે થોડો સમય રાહ જુઓ, તેવા વાયદાઓ કરતા હતા. ત્યારબાદ અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે આપતા મેડીકલ તપાસ પણ કરાવી હતી. ત્યારબાદ પણ યુકેના વર્ક પરમિટ વિઝાનું કામ પુરૂ થયું ન હતું. જેથી હીરલકુમાર કનુભાઈ પટેલને વાત કરતા તેઓએ તમારા કોસ લેટરની તારીખ એક્સ્ટેન્ડ થાય તેમ લાગતુ નથી અને તમારે બીજી કોઈ કોન્ટ્રીમાં જવું હોય તો વીઝા કરી આપીશ અને ઓસ્ટ્રેલીયાના વિઝીટર વર્ક વીઝા માટે બીજા બનાવી આપવાનું કહી તેમની પાસેથી રૂ. 15 લાખ પણ પડાવ્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાના વિઝા પણ કરી આપ્યું ન હતું. આમ ઠગ એજન્ટે વિઝાનું કામ પણ કરી આપ્યું ન હતું કે, પછી રૂપિયા પણ પરત આપતો ન હોય મહિલાએ હીરલકુમાર કનુભાઈ પટેલ ( રહે. માંજરોલ (અમલપુર) તા, સંખેડા જી. છોટા ઉદેપુર) વિરુદ્ધ રૂપિયા 20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જેથી માંજલપુર પોલીસે ઠગ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉધના-અયોધ્યા કેન્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ:હોળી માટે શરૂ કરાયેલી ટ્રેન ગોધરા પહોંચી
પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી અયોધ્યા કેન્ટ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તહેવારોની ભીડને પહોંચી વળવા માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે ગોધરાથી પસાર થઈ હતી. આ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે. ઉધનાથી સવારે 07:25 વાગ્યે ઉપડીને તે બીજા દિવસે સવારે 10:30 વાગ્યે અયોધ્યા કેન્ટ પહોંચે છે. આ મુસાફરીમાં લગભગ 27 કલાક અને 5 મિનિટનો સમય લાગે છે. આ ટ્રેન વડોદરા, રતલામ અને ઝાંસી થઈને પસાર થાય છે. મુસાફરો માટે ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન દ્વારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત શોટગન શૂટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાવલી શૂટિંગ રેન્જ ખાતે સતત બીજા વર્ષે યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 12 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ છે, જે 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ સ્પર્ધા ઉભરતા શૂટર્સ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. ગુજરાતના 13 જિલ્લાના ખેલાડીઓનો જમાવડો આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે બરોડા, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, સુરત, દાહોદ, આણંદ, રાજકોટ, ખેડા, કચ્છ, ભુજ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાંથી કુલ 41 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની વિશેષતા એ છે કે તેમાં વંદના ચુડાસમા અને આહીર પ્રિષા વૈભવભાઈ નામની બે મહિલા શૂટર્સ પણ પુરુષ સ્પર્ધકો સામે મેદાનમાં ઉતરી છે. સ્પર્ધામાં ક્લે પિજન ટ્રેપ શૂટિંગ અને ક્લે પિજન ડબલ ટ્રેપ જેવી રમાંચક ઇવેન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. રમતગમત દ્વારા મિત્રતાનું બંધન મજબૂત કરવાનો પ્રયાસ સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના સેક્રેટરી જનરલ ઈશ્વર સિંહે જણાવ્યું હતું કે, સતત બીજા વર્ષે આ આયોજન કરવું એ ગૌરવની વાત છે. આ સ્પર્ધા માત્ર શ્રેષ્ઠતાની ઉજવણી નથી, પરંતુ રાજ્યભરના ખેલાડીઓ, કોચ અને શૂટિંગ પ્રેમીઓ વચ્ચે સ્નેહ અને મિત્રતાનું બંધન મજબૂત બનાવવાનું પણ માધ્યમ છે. આ સ્પર્ધાના આયોજનથી રાજ્યમાં શૂટિંગ રમતનો વિકાસ થશે અને નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ગુરુવારે 6 કેન્દ્રો પર બે સેશનમાં યોજાઈ હતી. કુલ 618 વિદ્યાર્થીઓમાંથી 616 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5 થી 16 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવી છે. આ પરીક્ષા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના કુલ 11 કેન્દ્રો પર ચાલી રહી છે. ગુરુવારે યોજાયેલી પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં 218 માંથી 217 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 1 વિદ્યાર્થી ગેરહાજર હતો. ભૌતિક વિજ્ઞાનમાં 240 માંથી 239 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. જીવ વિજ્ઞાનમાં નોંધાયેલા 160 વિદ્યાર્થીઓમાંથી તમામ 160 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
બોટાદ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે અનુસૂચિત જાતિના લોકો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. આ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજીભાઈ સોલંકી, લાલજીભાઈ ચૌહાણ અને સોમાભાઈ પરમાર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે સહાય યોજનાઓ, શિક્ષણ સહાય, આવાસ, સ્વરોજગાર અને અન્ય વિકાસલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો હાજર રહ્યા હતા. તેમણે યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે માહિતગાર કરવાનો હતો.
ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યની 7 ઊર્જા કંપનીઓના આશરે 45,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓએ જોડાઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના તમામ જિલ્લા મથકોએ વીજ કર્મચારીઓએ ઓફિસોની બહાર નીકળી ખાનગીકરણના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો હતો. વીજળી (સુધારા) બિલ અને ખાનગીકરણનો વિરોધ કર્મચારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ 2025 પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો ઉગ્ર લડત આપવામાં આવશે. આ આંદોલનની મુખ્ય માંગણીઓમાં વીજળી (સુધારા) બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 ને પાછી ખેંચવાનો સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને સંકલન સમિતિના મતે, ખાનગીકરણ ગરીબ ગ્રાહકો અને સામાન્ય જનતાના હિતોની વિરુદ્ધ છે. આઉટસોર્સિંગ અને પેન્શન યોજના મુદ્દે માંગણીઓ આ પ્રદર્શનમાં વીજળી ક્ષેત્રમાં વધી રહેલા વ્યાપક આઉટસોર્સિંગનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકીને નિયમિત પદો પર સીધી ભરતી કરવાની તથા હાલના આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી સમયમાં આંદોલન તેજ કરવાની ચેતવણી સંકલન સમિતિના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા અને અન્ય પદાધિકારીઓએ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના નિર્ણય મુજબ વધુ ઉગ્ર પગલાં લેવામાં આવશે. આ હડતાળ અને વિરોધ પ્રદર્શનથી ઊભા થનારા કોઈપણ વિક્ષેપની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ બળદેવ એસ. પટેલ અને એચ. જી. વઘાસીયાએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રની મિલીભગતથી મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. 1 લાખથી વધુ સાચા મતદારોના મતાધિકારને જોખમમાં મુકાતા જોઈ, કોંગ્રેસે હવે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાયની માંગ કરી છે. આ મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી પંચની નોટિસ અને ફોર્મ નં. 7નો વિવાદવિપુલ ઉધનાવાલાના જણાવ્યા અનુસાર, SSR પ્રક્રિયાના બીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પદ્ધતિસર રીતે હજારોની સંખ્યામાં ફોર્મ નંબર-7 (નામ દૂર કરવા માટેની અરજી) ભરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે, કોઈપણ નક્કર પુરાવા વિના સાચા મતદારોને શંકાસ્પદ ગણાવી તેમના નામ કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ચૂંટણી પંચે આ પાયાવિહોણા વાંધાઓને ગ્રાહ્ય રાખી હજારો મતદારોને ફરીથી પુરાવા રજૂ કરવા નોટિસો ફટકારી છે, જે મતદારોને માનસિક રીતે હેરાન કરવાની ચાલ હોવાનું કોંગ્રેસ માને છે. 'બિહાર પેટર્ન' મુજબ પરિણામો બદલવાની આશંકાઆ લડતને ગંભીર ગણાવતા ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, અગાઉ બિહારમાં જે રીતે ચોક્કસ વિસ્તારોમાંથી વિરોધ પક્ષના મતો કાપીને ચૂંટણી પરિણામોમાં હેરાફેરી કરવામાં આવી હતી, તે જ રણનીતિ હવે સુરતમાં અપનાવવામાં આવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, લિંબાયત અને વરાછા જેવા વિસ્તારોમાં 30,000થી વધુ મતદારોના નામ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અંતે કોંગ્રેસે કોર્ટનો આશરો લીધો છે. ન્યાય માટે હાઈકોર્ટમાં પિટિશનલોકશાહીના પાયા સમાન મતાધિકારને બચાવવા માટે સુરત શહેર કોંગ્રેસે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં મુખ્યત્વે માંગ કરવામાં આવી છે કે, પુરાવા વગરના તમામ વાંધા (ફોર્મ નં. 7) તાત્કાલિક રદ કરવામાં આવે, જે મતદારોના નામ કાપવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેની નિષ્પક્ષ તપાસ થાય અને કોઈ પણ સાચો મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે. મતદારોના રક્ષણ માટે લડતનું એલાનવિપુલ ઉધનાવાલાએ પક્ષનો પક્ષ રાખતા સ્પષ્ટ કર્યું છે કે, સાચા મતદારોનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પક્ષની નૈતિક જવાબદારી છે. ભલે ગમે તેટલા કાવતરાં ઘડાય, અમે હાઈકોર્ટ દ્વારા મતદારોના હક અપાવીને જ જંપીશું. આ પિટિશન બાદ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની નજર છે. કોંગ્રેસની આ કાયદાકીય લડત આગામી ચૂંટણીઓના પરિણામો પર મોટી અસર પાડી શકે તેમ છે.
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે અદભૂત પ્રદર્શન કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજે રમાયેલી હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમ.એસ. યુનિવર્સિટી બરોડાને પરાજય આપી પ્રથમ વખત આ સ્પર્ધાની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બરોડાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 171 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આક્રમક બેટિંગ કરી માત્ર 4 વિકેટના ભોગે 18મી ઓવરમાં જ 172 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રામદેવ આચાર્યની આક્રમક ઇનિંગ અને સન્માન ટીમને જીત સુધી પહોંચાડવામાં સ્ટાર બેટર રામદેવ આચાર્યે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી અણનમ 83 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચ વિનિંગ પ્રદર્શન માટે રામદેવ આચાર્યને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ટીમના આ વિજયમાં કોચ આશિકભાઈ અને મેનેજર સંજયભાઈનું સચોટ માર્ગદર્શન મહત્વનું રહ્યું હતું. યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી આ ઐતિહાસિક સફળતાને વધાવતા કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર મનીષ ધામેચા અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ ડો. હરીશ રાબાએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત ડો. મનમોહન રાવત, એમ.બી. મકવાણા, ડો. ભાવેશ રાબા અને ડો. એચ.આર. ભાલીયાએ પણ ખેલાડીઓની રમતની પ્રશંસા કરી હતી. હવે આવતીકાલે રાજકુમાર કોલેજના મેદાનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની પ્રથમ ઓલ ઇન્ડિયા સેમિફાઇનલ મેચ રમશે, જેને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં SIRની કામગીરીમાંથી શિક્ષકો હજી તો ફ્રી નથી થયા ત્યાં જ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આ પરિપત્ર રદ કરવાની માગ કરી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અને આસપાસના વિસ્તારમાં કૂતરાની ગણતરી કરવા આદેશનાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે. કોંગ્રેસે પરિપત્ર રદ કરવાની માગ કરીગુજરાતમાં શિક્ષકોને વધુ એક વાર શિક્ષણ સિવાયની કામગીરી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 3 હજાર શાળાઓ તો એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને શિક્ષણ સિવાય શૌચાલય ગણવા, ભીડ ભેગી કરવા, ચૂંટણીના કામ, SIRની કામગીરી સોંપાઈ રહી છે જેના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોને પોતાના વિસ્તારમાં કૂતરાની ગણતરી માટે આદેશ કરાયો છે જેના કારણે વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય જ નહીં મળે. ગુજરાતમાં શિક્ષકો સિવાય કોઈ છે જ નહીં કે જે આ કામગીરી કરી શકે? તાત્કાલીક આ પરિપત્ર રદ કરવામાં આવે.
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન હાલમાં શહેરની વ્યવસ્થા સુધારવા માટે સતત સક્રિય દેખાઈ રહ્યા છે. રાંદેર ઝોનની મુલાકાત લીધાના બીજા જ દિવસે આજે વહેલી સવારે 8 કલાકે તેઓ અચાનક અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં પહોંચી ગયા હતા. કમિશનરને અચાનક જોતા જ ઝોનના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્વચ્છતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં ન આવેકમિશનરે પીપલોદ ખાતે આવેલા હળપતિવાસની મુલાકાત લીધી હતી. તેમણે વિસ્તારમાં ગંદકી અને સાફ-સફાઈના અભાવને ગંભીરતાથી લીધો હતો. સ્થળ પર હાજર રહીને તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને તાકીદ કરી હતી કે, સ્લમ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને સ્વચ્છતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં ન આવે. નાઈટ બજારમાં પાર્કિંગમાં લાઈટની વ્યવસ્થા કરવાનું સૂચનપીપલોદ પાસે આવેલા હળપતિવાસ અને તેની પાસે આવેલા નાઈટ બજારમાં જર્જરિત હાલતમાં પડેલા ટોયલેટ બ્લોકને પુનઃ શરૂ કરવા સુચના આપી હતી. આ સિવાય નાઈટ બજારમાં પહેલા માળ પર આવેલ હોલ ઘણા સમયથી ખાલી પડી છે, જેને વૈકલ્પિક ઉપયોગમાં લઈ શકાય તે દિશામાં પણ વહીવટી તંત્રને નિર્દેશ કર્યો હતો, જેને લઈને આગામી દિવસોમાં હોલને ડે કિચન કે યોગા સેન્ટર જેવી સુવિધા માટે ભાડે આપવાની કવાયત હાથ ધરાઈ શકે છે. ખાસ કરીને નાઈટ બજારમાં પાર્કિંગમાં લાઈટના અભાવે મોડી રાત સુધી દારૂડિયાનું ન્યુસન્સ થઈ ગયું હોવાનું ધ્યાને આવતા તેઓએ પાર્કિંગ એરિયામાં જરૂરિયાત મુજબ લાઇટની વ્યવસ્થા કરવાની પણ તંત્રને સૂચના આપી હતી. બિગ બજાર પાસે બીઆરટીએસ સ્ટેન્ડ હટાવવામાં આવશે24 કલાક ટ્રાફિકથી ધમધમતા પીપલોદ વિસ્તારમાં બિગ બજાર પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ ના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનતી હોય છે. સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ટ્રાફિક પોલીસના હકારાત્મક અભિપ્રાય સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડ હટાવવાની રજૂઆત કરી હતી. જો કે, આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. આજે કમિશનર નાગરાજન ની મુલાકાત સમયે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. તેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી.
સાબરકાંઠા SOGએ 25 કિલો વિસ્ફોટક સાથે એકને ઝડપ્યો:ઈડરના દેશોતર ચાર રસ્તેથી રૂ.53,592નો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દેશોતર ચાર રસ્તેથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક શખ્સને 25 કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ 53,592 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ હિતેશ પ્રતાપજી બેચરજી ઠાકરડા (ઉં.વ. 22, રહે. રાઓલ, તા. ઇડર) છે. તેની પાસેથી 25 કિલો નાઇટ્રેટ મિક્સર, 9 ટોટા, 12 ડિટોનેટર કેપ અને વાયર સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. સાબરકાંઠા SOG ના PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PSI કે.યુ. ચૌધરી, પી.એમ. ઝાલા અને તેમની ટીમ ATS ચાર્ટરની કામગીરી અંતર્ગત જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અનિરુદ્ધસિંહ અને સુશીલકુમારને બાતમી મળી હતી કે, એક ઇસમ મોટરસાયકલ (રજી. નં. GJ 09 DJ 7634) પર ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી લઈને દેશોતર ચોકડીથી ઇલોલ તરફ જવાનો છે. આ બાતમીના આધારે SOG ટીમે દેશોતર ચાર રસ્તે તપાસ ગોઠવી હતી અને શંકાસ્પદ મોટરસાયકલને રોકી તપાસ કરતા વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આરોપી વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ 1984 ની કલમ 9(B) અને 1(B) હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણ શહેર મામલતદારે બેંક ઓફ બરોડા અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને લેખિત સૂચના આપી છે. આ સૂચનામાં જણાવાયું છે કે, આધારકાર્ડ ડિસેબલ થયા હોવા છતાં લાભાર્થીઓની બેંકિંગ સેવાઓ ચાલુ રાખવામાં આવે. જો આ સેવાઓ અટકશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત બેંક મેનેજરની રહેશે. મામલતદાર કચેરી દ્વારા બેંક મેનેજરોને પત્ર લખીને બેંકિંગ સેવાઓ અવિરત ચાલુ રાખવા તાકીદ કરાઈ છે. મામલતદારના જણાવ્યા મુજબ, પાટણની હિંગળાચાચર બ્રાન્ચની બેંક ઓફ બરોડા અને પંચમુખી કોમ્પ્લેક્ષ સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના કેટલાક ખાતાધારકોના આધારકાર્ડ હાલ ડિસેબલ થયા છે. આધારકાર્ડમાં સર્જાયેલી આ ટેકનિકલ સમસ્યાને કારણે લાભાર્થીઓને મળતી બેંકિંગ સેવાઓ કે સરકારી યોજનાના લાભો બંધ ન થાય તે માટે આ આદેશ અપાયો છે. મામલતદાર કચેરીએ જાહેર કરેલી વિગતો અનુસાર, બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવતા દવે રીટાબેન ભરતભાઈ અને ભાટીયા હીરાબેન હસમુખભાઈના કિસ્સામાં બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા જણાવાયું છે. આ જ રીતે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના લાભાર્થી સાધુ અંતિલાલ ધનજીભાઈ માટે પણ સમાન સૂચના લાગુ પડે છે. તંત્રએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો આ લાભાર્થીઓની બેંક સેવાઓ બંધ થશે, તો તેની અંગત જવાબદારી બેંક મેનેજરની ગણાશે. આ આદેશની નકલ પાટણના લીડ બેંક મેનેજરને પણ જરૂરી કાર્યવાહી માટે મોકલી અપાઈ છે. આધારકાર્ડની સમસ્યાને કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે મુખ્ય હેતુથી આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમા રહેતી 17 વર્ષ અને 6 માસની સગીરાને આરોપી સાગર મનસુખભાઈ મકવાણા (ઉ.વ.23)એ નવરાત્રી દરમિયાન સગીરા સાથે મિત્રતા કેળવી બાદમાં વોટસએપ તેમજ અન્ય સોશિયલ મીડીયા મારફત અવારનવાર વાતચિત કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી ત્યારબાદ સગીરાને ભગાડી જઈ તેની સાથે અવારનવાર શરીર સબંધ બાંધી ગુનો આચર્યો હતો. બનાવ અંગે ફરિયાદ આધારે યુનિવર્સીટી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન કોર્ટમાં કેસ ચાલી જતા આજ રોજ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ ફરમાવવામાં આવ્યો છે. ભોગ બનનાર બાળકીને રૂ.7,00,000 ચુકવવાનો આદેશ આપ્યો રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા આરોપી સાગર મનસુખભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ 5 મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.5000નો દડ ફરમાવેલ છે. આ ઉપરાંત સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં આઈ.પી.સી. કલમ 363 મજબ 5 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.1000નો દંડ ફરમાવેલ છે તેમજ આઈ.પી.સી.ની કલમ 366 મુજબ 7 વર્ષથી સખ્ત કેદની સજા ફરમાવેલ છે. તેમજ ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગ બનનાર બાળકીને રૂ.7,00,000 ચુકવવાનો આદેશ આપ્યો છે. 11 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી વિરુધ્ધ પુરતા પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતુ. આ કેસમા ફરિયાદ પક્ષે કુલ 11 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા જે બાદ સરકારી વકિલ પ્રશાંત પટેલએ આ કેસના સાહેદો તથા પંચોને તપાસી પુરાવાઓની કડીઓ મેળવી કેસમા પોતાની દલીલ રજુ કરી ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કર્યો છે. જેમાં ભોગ બનનાર બાળકી તેની જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના જણાવી આરોપીને ઓળખી બતાવ્યો છે અને ફરીયાદીના કેસને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ભોગ બનનારની મેડીકલ તપાસ કરનાર ડોકટર તથા આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે પ્રોસીકયુશના કેસને સમર્થન આપ્યું છે. આરોપીને કસુરવાર ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી આરોપીએ બાળકી સાથે ગુનો કરવા માટે અગાઉથી નક્કી કરી ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. જેથી આરોપીનો ગુન્હો કરવાનો ઈરાદો સ્પષ્ટ છે તથા ફરીયાદ પક્ષે રજુ થયેલા પુરાવાઓ જોતા આરોપી વિરૂધ્ધ કેસ સાબિત થતો હોય અને પોકસો એકટ જેવા ગંભીર ગુનામાં આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકિલની દલીલો માન્ય રાખી કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ કેસમા સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંત પટેલ અને સહાયક તરીકે રાજન ટીબા, મુસ્કાન સમા રોકાયા હતા.
પાટણ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણ તાલુકાના આઇ.સી.ડી.એસ. ઘટક-પાટણ 1 હેઠળની કુલ 72 આંગણવાડીઓમાંથી 44 કેન્દ્રોનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 28કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અને લોકભાગીદારીથી આ આંગણવાડીઓનું સૌંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે. આ નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે અભ્યાસ, પોષણ અને બાળસ્નેહી વાતાવરણ પૂરું પાડવાનો છે. આ ઝુંબેશ પાટણ જિલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર રંજનબેન બી. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ અને ઘટક-પાટણ ૧ના સીડીપીઓ ઉર્મિલાબેન કે. પટેલના સઘન પ્રયાસોથી ચાલી રહી છે. મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનોના સંકલનમાં રહીને આ કામગીરી થઈ રહી છે. નવીનીકરણના કામોમાં આંગણવાડીના નાના-મોટા સમારકામ, રંગરોગાન, સેનિટેશન રિપેરિંગ, ફ્લોરિંગ રિપેરિંગ, સ્લેબ રિપેરિંગ તથા બારી-બારણાં રિપેરિંગ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ નવીનીકરણને કારણે બાળકોને આકર્ષક મકાન અને હુંફાળું વાતાવરણ મળી રહેશે. બાળકો હવે આનંદદાયક અને આરામદાયક માહોલમાં જ્ઞાન સાથે ગમ્મત માણી શકશે, જે તેમના સર્વાંગી વિકાસ માટે લાભદાયક સાબિત થશે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થવાથી વાલીઓનો વિશ્વાસ પણ વધ્યો છે.
ડોમિનોઝ પિઝા આઉટલેટમાંથી રૂ. 51 હજારની ચોરી:વલસાડના મોલમાંથી મેનેજર જ રોકડ લઈ ગયો, પોલીસ તપાસ શરૂ
વલસાડના એમ સ્ક્વેર મોલમાં આવેલા ડોમિનોઝ પિઝા આઉટલેટમાંથી મેનેજરે રૂ. 51,183ની રોકડ ચોરી કરી હતી જે બાદ ફરાર થઈ ગયો છે. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આ ચોરી બે દિવસના ગાળામાં થઈ હતી. ડોમિનોઝના સ્ટોર ઇન્ચાર્જ અંકિત પટેલે પોલીસને જણાવ્યું કે, જલંધરથી બદલી થઈને આવેલા નવા મેનેજર વિકાસકુમાર સરોજકુમારે આ ચોરી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 18 ડિસેમ્બરે દુકાનના લોકરમાંથી રૂ. 30,730 ગાયબ હોવાનું જણાયું હતું. દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા, નવા મેનેજર વિકાસકુમાર લોકરમાંથી રૂપિયા કાઢતા સ્પષ્ટ દેખાયા હતા. વિકાસકુમારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાની જરૂરિયાત માટે રકમ લીધાની કબૂલાત કરી હતી અને સાંજે પરત આપવાનો વાયદો કર્યો હતો. જોકે, બીજા જ દિવસે, 19 ડિસેમ્બરની વહેલી સવારે સ્ટોર બંધ હોવા છતાં, વિકાસકુમાર ચાવી વડે લોકર ખોલીને વધુ રૂ. 20,453 લઈને ફરાર થઈ ગયો હતો. સવારે અન્ય મેનેજર સંગીતાબેન રાઠોડ સ્ટોર પર પહોંચતા લોકર ખાલી જણાયું હતું. 19મી તારીખે વહેલી સવારે 4:30 થી 5:00 વાગ્યા દરમિયાન વિકાસકુમાર સ્ટોરમાં આવી લોકર ખોલી રોકડ લઈને નીકળી જતો સ્પષ્ટ દેખાયો હતો. ચોરી બાદ આરોપીએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. વલસાડ સિટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 306 હેઠળ ગુનો નોંધી આરોપીના આધારકાર્ડ અને ઓફર લેટરના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે તેમને ઓછા પગારથી શોષણ કરવામાં આવે છે અને ઓનલાઈન કામગીરી માટે અધિકારીઓ દ્વારા ધમકીઓ અપાય છે. મોરબી જિલ્લા આંગણવાડી કર્મચારી મંડળના આગેવાન રૂક્ષ્મણીબેન ઘોડાસરાએ જણાવ્યું હતું કે, તેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ અત્યાર સુધી ઓફલાઈન કામગીરી કરતા હતા. હવે તેમને ઓનલાઈન કામગીરી કરવા દબાણ અને ધમકીઓ આપવામાં આવે છે. ઘણા બહેનો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોવાથી તેઓ આ કામગીરી કરી શકતા નથી. તેથી, ઓનલાઈન કામગીરી માટે સરકારે પહેલા સારા મોબાઈલ આપવા જરૂરી છે. આવેદનપત્રમાં અન્ય સાત માંગણીઓ પણ સામેલ છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરી પૂરતો પગાર આપવો, આંગણવાડી બહેનોને નિયમિત કર્મચારી ગણી પેન્શન સહિતની યોજનાઓનો લાભ આપવો અને આંગણવાડી માટે અનાજ સહિતની વસ્તુઓમાં વધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આંગણવાડી વર્કર અન્નપૂર્ણાબેન કામરિયા સહિતના બહેનોએ જણાવ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રીએ તેમની માંગણીઓ બાબતે વિગતવાર રજૂઆત સાંભળી હતી, પરંતુ આજ સુધી તેમની એક પણ માંગણી સંતોષવામાં આવી નથી. તેમણે સરકારને તાત્કાલિક આંગણવાડી અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંતોષવા વિનંતી કરી છે. આ બહેનો છેલ્લા ઘણા વર્ષોથી પૂરતા પગાર અને જરૂરી સુવિધાઓ માટે આંદોલન કરી રહ્યા છે.
આંગણવાડી બહેનોની 11 માંગણીઓ, પાટણ કલેક્ટરને આવેદન:વર્ગ-3, 4 માં સમાવેશ અને કાયમી નિમણૂકની માંગ
પાટણ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ તેમના વર્ષો જૂના પડતર પ્રશ્નો અને નવી સમસ્યાઓ મુદ્દે દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે. વિવિધ હોદ્દેદારો અને સંગઠન દ્વારા સરકારને પોતાની 11 મુખ્ય માંગણીઓ સંતોષવા માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આંગણવાડી અને તેડાગર બહેનોની મુખ્ય માંગણીઓમાં નામદાર હાઈકોર્ટના ચુકાદાને માન આપી કાર્યકર અને તેડાગરોને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ-3 અને વર્ગ-4 માં સમાવેશ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કાયમી નિમણૂક અને નિવૃત્તિ બાદ પેન્શનની સુવિધા આપવાની પણ માંગ કરાઈ છે. બહેનોએ 2022 થી નવા મોબાઈલ ન મળ્યા હોવાની ફરિયાદ કરી હતી અને 'AVT' જેવી ખામીયુક્ત એપ્લિકેશનો બંધ કરીને સારા મોબાઈલ આપવા તથા ઓનલાઈન કામનો બોજ ઘટાડવાની માંગ કરી હતી. તેઓ લાયકાત મુજબ તેડાગરમાંથી કાર્યકર અને કાર્યકરમાંથી મુખ્ય સેવિકામાં બઢતી આપવા અને તેમાંથી વયમર્યાદા દૂર કરવાની પણ માંગ કરી રહ્યા છે. સરકારે વર્ષ 2022 માં કરેલા મૌખિક વાયદા મુજબ વેતનમાં દર વર્ષે વધારો કરવો અને ગુજરાતમાં નિવૃત્તિ વય 58 થી વધારી અન્ય રાજ્યોની જેમ 60 કે 65 કરવાની પણ માંગણીઓ છે. હાઈકોર્ટના આદેશ મુજબ, ICDS સિવાયની અન્ય કામગીરી (જેમ કે BLO) બહેનોને ન સોંપવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે. પરમાર મનીષાબેને જણાવ્યું હતું કે, આંગણવાડીમાં અપાતા મસાલા, ગોળ અને અનાજના ભાવ બજારમાં ઊંચા છે, પરંતુ બિલ જૂના ભાવે ચૂકવાય છે, જે વ્યાજબી નથી. તેમણે ગેસ સિલિન્ડરના નાણાં કાર્યકરોએ પોતાના ખિસ્સામાંથી ન રોકવા પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા જ કરવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં ઉપપ્રમુખ રેખાબેન જોષી, રીટાબેન ઠક્કર, મહામંત્રી મધુબેન રાવળ, સહમંત્રી ડિમ્પલબેન નાઈ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી આંગણવાડી બહેનોએ પોલિયો નાબૂદી અને સખી મંડળ જેવા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, છતાં તેમને કોઈ વિશેષ લાભ મળ્યા નથી. જો સરકાર આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી ફાયર શાખાએ 87 લોકોને ફાયર ટ્રેનિંગ આપી:સરકારી કચેરીઓ અને શાળાઓમાં અગ્નિશમન તાલીમ યોજાઈ
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાજેતરમાં ક્રિષ્ના મેળા ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ફાયર શાખાએ સરકારી કચેરીઓ, શાળાઓ અને શાકભાજી બજાર સહિત કુલ 87 લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ પણ આપી છે. ક્રિષ્ના મેળા, કંડલા બાયપાસ, નવલખી રોડ, મોરબી ખાતે મેળાના સંચાલક દ્વારા પાર્કિંગમાં એક ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરાતા સ્ટાફ અને ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આકસ્મિક ઘટનાઓ સમયે કેવી રીતે પ્રતિભાવ આપવો અને શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના કર્મચારીઓએ મેળાના સંચાલકો અને શહેરીજનોને ફાયર સેફ્ટી, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ અને ઇમરજન્સીમાં અગ્નિશમન શાખાનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે માહિતગાર કર્યા હતા. મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન 3 સરકારી કચેરીઓમાં 37 વ્યક્તિઓને, 1 શાળામાં 40 વિદ્યાર્થીઓને અને શાકભાજી બજારમાં નાગરિકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. કુલ 87 લોકોને આ તાલીમનો લાભ મળ્યો હતો. વધુમાં, અગ્નિશમન શાખા દ્વારા સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક એકમો જેવી ઇમારતોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાયર NOC ન ધરાવતી ઇમારતોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, જેથી જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
પડતર માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકરોની હડતાળ:કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે રોષ ઠાલવ્યો
રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના ઐતિહાસિક મહાત્મા ગાંધી બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. મોંઘવારીના જમાનામાં ઓછા પગારથી ઘર ચલાવવું મુશ્કેલઃ હેમાંગિનીબેનઆ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે નામદાર હાઈકોર્ટના ચુકાદાના અમલીકરણની માગ ઉઠી છે. આંગણવાડી કાર્યકર હેમાંગિનીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યકર બહેનોને રૂ. 24,800 અને તેડાગર બહેનોને રૂ. 20,300 પગાર મળવો જોઈએ. પરંતુ સરકાર હજુ સુધી આ ચુકાદાનો અમલ કરી રહી નથી. હાલમાં કાર્યકર બહેનોને માત્ર રૂ.10,000 અને તેડાગર બહેનોને રૂ. 5,000 જેવું અત્યંત ઓછું માનદ વેતન આપવામાં આવે છે, જેની સામે મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કાયમી કરવાની સાથે બઢતીની પણ માગઆંગણવાડી બહેનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ઓનલાઈન કામગીરીનું ભારણ વધારવામાં આવ્યું છે. બહેનોએ પોતાના અંગત ખર્ચે મોબાઈલ ખરીદીને સરકારી કામગીરી કરવી પડે છે. જેની સામે સરકાર ન તો નવા મોબાઈલ આપે છે કે ન તો કોઈ આર્થિક સહાય. આ ઉપરાંત પાયાના સ્તરે કામ કરતી આ મહિલાઓને વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી ગણી કાયમી કરવામાં આવે અથવા ન્યૂનતમ વેતનના બદલે સન્માનજનક પગાર ધોરણ અને બઢતી આપવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન ચીમકીમહેસાણા ખાતે એકઠી થયેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર વહેલી તકે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે અને તેમની અન્ય માંગણીઓ નહીં સંતોષે તો તેઓ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી બતાવી છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ITC નર્મદા હોટલ પાસે આવેલા શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર હાલ પહોંચી છે અને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 25 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને નીચે ઉતારી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ લાગવાના કારણે ફ્લેટમાં રહેતા લોકોમાં દોડધામ મચી છે અને હાલની ફાયરની ટીમ કામગીરી કરી રહી છે.
ભરૂચ શહેર સ્થિત વીજ કચેરી ખાતે વીજ કર્મચારીઓએ કેન્દ્ર સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિયન ફેડરેશનના આહ્વાન પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આ વિરોધ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા અપાયેલા દેશવ્યાપી હડતાળના એલાનનો એક ભાગ હતો. કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી સુધારા બિલ-2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રીસીટી પોલિસી-2026 સંસદમાં રજૂ કરે તેવી સંભાવના છે, જેના વિરોધમાં આ આંદોલન છે. ફેડરેશનના મતે, આ પ્રસ્તાવિત નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું પાડશે, જેના કારણે દેશભરના લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ગુજરાત રાજ્યમાંથી GEBIA અને AGVKA ના અંદાજે 7 હજાર ઇજનેરો સહિત કુલ 45 હજાર કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા હોવાનું જણાવાયું છે. ભરૂચ જિલ્લામાંથી આશરે 250 ઇજનેરો અને 1 હજાર સ્ટાફ સહિત કુલ 1,250 વીજ કર્મચારીઓએ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 થી 2:30 દરમિયાન વીજ કંપનીઓની મુખ્ય કચેરીઓ સામે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ફેડરેશન દ્વારા વીજળી સુધારા બિલ પાછું ખેંચવા, સ્માર્ટ મીટરિંગ યોજના રદ કરવા, કરાર આધારિત નોકરી પ્રથા બંધ કરી નિયમિત ભરતી કરવા અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની પણ માંગ ઉઠાવાઈ હતી. આ વિરોધ પ્રદર્શનમાં AGVKES ના સેક્રેટરી જનરલ ટેક ચિરાગ શાહ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ અલ્કેશ પ્રજાપતિ, GEBIA ના એડિશનલ જનરલ સેક્રેટરી (લીગલ) હિરેન મિસ્ત્રી, સર્કલ સેક્રેટરી ચિંતન ગાંધી સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. લાંબા સમયથી મુસાફરો દ્વારા મળતી વિવિધ ફરિયાદોને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગંભીર મુદ્દાઓ ધ્યાને આવતા સ્થળ પર જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નિયમભંગ બદલ કંડક્ટર અને ચેકરને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સોમનાથ મરાઠેએ બસમાં જઈ ટિકિટ ચેક કરીમળતી માહિતી અનુસાર, અધ્યક્ષ સોમનાથ મરાઠે અને તેમની ટીમે આજે સવારના સમયે શહેરના વિવિધ રૂટ પર ચાલતી બસોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કોમલ સર્કલ પાસે રૂટ નંબર 105ની બીઆરટીએસ બસને રોકવામાં આવી હતી. બસ ઉભી રખાવીને અધ્યક્ષે પોતે અંદર જઈને મુસાફરોની ટિકિટ અને કંડક્ટરની કામગીરીની ચકાસણી શરૂ કરી હતી. કંડકટર પાસે ઓળખ પત્ર ન હતુંતપાસ દરમિયાન જોવા મળ્યું કે બસમાં ફરજ બજાવતા કંડક્ટરે 'આકાર એજન્સી' દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું સત્તાવાર ટી-શર્ટ પહેર્યું હતું, પરંતુ જ્યારે અધ્યક્ષે આ અંગે પૂછપરછ કરી, ત્યારે કંડક્ટરે પોતે નવો જોડાયો હોવાની વાત કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, કંડક્ટર પાસે કોઈ પણ પ્રકારનું સત્તાવાર ઓળખપત્ર કે તેની નિમણૂક અંગેના દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા. કંડકટર અને ચેકર સાત દિવસ માટે સસ્પેન્ડજાહેર પરિવહન જેવી સંવેદનશીલ સેવામાં કોઈપણ વ્યક્તિ ઓળખ વગર ફરજ બજાવે તે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી ગણાય. આ ક્ષતિને પગલે અધ્યક્ષે તાત્કાલિક અસરથી કંડક્ટર અને તેના રૂટ ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ 'આકાર એજન્સી'ને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. જો યોગ્ય કારણ નહીં મળે તો એજન્સી સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કંડકટરને બ્લેકલિસ્ટ કરવાની વોર્નિંગબીજી એક બસમાં ચેકિંગ કરતા કંડકટર બિન યુનિફોર્મમાં પકડાતા તેને પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ હવે ફરીથી પકડાશે તો બ્લેક લિસ્ટ કરવાની વોર્નિંગ આપી જવાનું કહ્યું હતું. સાથે જ ડ્રાઇવરોના ખિસ્સા પણ ચેક કરવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ ટિકિટમાં કૌભાંડ નથી કરી તેની જાણ થઈ શકે. અગાઉ એવા બનાવો સામે આવ્યા હતા કે, કંડકટર ટિકિટ ન ફાડે અને પછી જ જે વધારાના નાણા છે તે ડ્રાઇવરને આપી દેવામાં આવતા હતાં, તેથી આ બાબતને ધ્યાન રાખી ડ્રાઇવરનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કંડકટર અને તેના ચેકરને 7 દિવસ માટે સસ્પેન્ડસુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, કોમલ સર્કલ પર 105 નંબરની બસ રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેના કંડકટરે આકાર કંપનીનુ ટી-શર્ટ પહેરેલું ન હતું. તેની પુછપરછ કરતા જણાવ્યું કે, તે આજે નવો જોડાયો છે તેની પાસે કોઈ આઈ કાર્ડ કે ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા, તેથી કંડકટર અને તેના ચેકર જીગર દેસાઈને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આનો ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ જે બસનું ચેકીંગ કરતા તેમાં કોઈ પેસેન્જર ટિકિટ વગર મળી આવેલ નથી.
Substantive Motion Against Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુરુવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધ 'સબસ્ટેન્ટિવ મોશન' (Substantive Motion) માટે નોટિસ આપી છે. દુબેએ આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના સંબંધો ભારત વિરોધી શક્તિઓ સાથે છે. શું છે નિશિકાંત દુબેના ગંભીર આક્ષેપો? ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ નોટિસ આપ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત વિરોધી સંગઠનો સાથે સાંઠગાંઠ છે.
જામનગરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાનારી શિવ શોભાયાત્રા માટે એક નવું આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શિવજીની છ ફૂટ ઊંચી, આશરે સાડા ત્રણ કિલો રજત મઢેલી 'છડી' બનાવવામાં આવી છે. આ 'છડી'નું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ 'છડી'ને સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આશિષ જોશી, જામનગર શહેર પ્રમુખ સુનિલ કનૈયા, શિવમ ગ્રુપના પી.ડી. રાયજાદા અને જાખરના અગ્રણી પી.એમ. જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. આગામી શિવરાત્રીના પર્વના દિવસે આ 'છડી'ને આશુતોષ મહાદેવની પાલખીની સાથે શિવ શોભાયાત્રામાં જોડવામાં આવશે. આનાથી નગરજનોને તેના દર્શનનો લાભ મળશે અને શોભાયાત્રાનું આકર્ષણ વધશે.
રેલવે સ્ટેશનોને ગુનામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા ‘મિશન સેફ સ્ટેશન' અંતર્ગત સુરત રેલવે પોલીસની શી-ટીમને મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશના કાનપુરથી અપહરણ કરી લવાયેલી 16 વર્ષીય સગીરાને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી હેમખેમ છોડાવી લેવામાં આવી છે, જ્યારે સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી લાવનાર આરોપી યુવકની પણ ધરપકડ કરી યુપી પોલીસને સોંપવામાં આવ્યો હતો. વેઈટિંગ એરિયામાં એક યુવક અને સગીરા શંકાસ્પદ હાલતમાં બેઠા હતાસુરત રેલવે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ શી-ટીમ સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-1ના વેઈટિંગ એરિયામાં એક યુવક અને સગીરા શંકાસ્પદ હાલતમાં બેઠેલા જણાતા ટીમે પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિકાસ બાબુરામ પાસવાને (રહે. કાનપુર) પોતાની ઓળખ છુપાવવા માટે સગીરા તેની બહેન હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. 30 જાન્યુ.ના રોજ આરોપી લગ્નની લાલચ આપી કાનપુરથી ભગાડી લાવ્યો હતોપોલીસને શંકા જતાં બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. અંતે તેઓનો ભાંડો ફૂટી ગયો હતો. બંનેએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, બંને વચ્ચે બે વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી ઓળખાણ થઈ હતી. સગીરાના પરિવારે તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરતા. ગત 30 જાન્યુઆરીના રોજ આરોપી તેને લગ્નની લાલચ આપી કાનપુરથી ભગાડી લાવ્યો હતો. કાનપુરના સાઢ પોલીસ સ્ટેશનમાં આ અંગે અપહરણનો ગુનો પણ નોંધાયો હતો. સગીરા અને આરોપીનો કબજો યુપી પોલીસને સોંપવામાં આવ્યોસુરત રેલવે પોલીસે તાત્કાલિક કાનપુર પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીનું લોકેશન ગુજરાતમાં ટ્રેસ થઈ રહ્યું હતું અને એક ટીમ તપાસમાં પણ હતી. આ દરમિયાન સુરત શી-ટીમે સતર્કતા દાખવી બંનેને ઝડપી પાડ્યા હતા. કાનપુરથી આવેલા પી.એસ.આઈ. હલીમખાન અને ટીમની હાજરીમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, સગીરા અને આરોપીનો કબજો યુપી પોલીસને સોંપવામાં આવ્યો છે.
સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એકવાર અશાંતધારાનો ભંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો છે. અશાંતધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મિલકત ટ્રાન્સફર થતા ભાજપના ધારાસભ્યએ તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે મિલકત ટ્રાન્સફર કરવામાં આવી છે તેની બાજુમાં મંદિર છે ત્યારે તંત્રએ મસ્જિદ હોવાનું જણાવી મિલકત ટ્રાન્સફર કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જે મંજૂરી આપવામાં આવી છે તે તાત્કાલીક રદ કરવાની માગ કરી છે. અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અધિકારીઓની કાર્યશૈલી અને ભ્રષ્ટાચારના આક્ષેપઅરવિંદ રાણાએ કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અશાંત ધારા હેઠળ પરવાનગી આપતી વખતે જે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ, તે કરવામાં આવતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ સ્થળની મુલાકાત લીધા વગર કે પડોશીઓના અભિપ્રાય લીધા વગર માત્ર ઓફિસમાં બેસીને ફાઈલો મંજૂર કરી રહ્યા છે. આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો કિસ્સો છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે જે વિસ્તારોમાં અગાઉ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરવાનગી નકારવામાં આવી હતી, તે જ વિસ્તારોમાં હવે કયા આધારે મંજૂરી અપાઈ રહી છે? નવાપુરામાં વધતો રોષ અને મંજૂરીનો વિરોધઆ વિવાદનું મુખ્ય કેન્દ્ર નવાપુરા વિસ્તાર છે, જ્યાં રજૂઆત કરવામાં આવી છે કે અન્ય ધર્મના લોકો દ્વારા વ્યાપક પ્રમાણમાં મિલકતો ખરીદવામાં આવી રહી છે. નવાપુરા સંઘર્ષ સમિતિના સભ્યો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપતા ધારાસભ્યએ જણાવ્યું કે મણિ વૈદની ગલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભૂતકાળમાં આવી પરવાનગીઓ અટકાવવામાં આવી હતી. જોકે, તાજેતરમાં વોહરા સમુદાયના એક સભ્યને મિલકત ખરીદવાની મંજૂરી આપતા સ્થાનિક રાણા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે આનાથી વસ્તીવિષયક સંતુલન બગડવાની ભીતિ છે. મંદિરને મસ્જિદ બતાવીને અપાયેલી મંજૂરીનો ઘટસ્ફોટઅશાંત ધારાના કાયદા મુજબ, મિલકત ટ્રાન્સફર વખતે પડોશીઓની સંમતિ અને ધાર્મિક સ્થળોની મર્યાદા જોવાની જવાબદારી તંત્રની છે. અરવિંદ રાણાએ પર્દાફાશ કર્યો હતો કે, તંત્રને એવી ખોટી રજૂઆત કરવામાં આવી છે કે જે મિલકત વેચાઈ રહી છે તેની પાસે મસ્જિદ આવેલી છે, જ્યારે હકીકતમાં ત્યાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં અધિકારીઓએ આ બાબતની અવગણના કરી હોવાથી લોકોમાં વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જરી ઉદ્યોગ અને સામાજિક અસ્તિત્વ પર ખતરોનવાપુરા, રાણાવાડ, અલીનો ટેકરો અને ભાટની પીઠ જેવા વિસ્તારો વર્ષોથી રાણા સમાજ અને જરી ઉદ્યોગ માટે જાણીતા છે. ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી કે, અન્ય સમુદાયના લોકો અહીં ત્રણ-ચાર મિલકતો ખરીદીને મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી રહ્યા છે. આના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગ અને જરી કામ સાથે સંકળાયેલા કારીગરોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે. અગાઉની સમજૂતીઓનું ઉલ્લંઘનધારાસભ્ય અરવિંદ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાણા સમાજે અગાઉ સમજૂતીના ભાગરૂપે વોહરા સમુદાય અને દાઉદી વ્હોરા ટ્રસ્ટ સાથે બેઠક કરી હતી. તે સમયે વ્હોરા સમુદાયે ખાતરી આપી હતી કે તેઓ રાણા સમાજના પડોશમાં મિલકતોની ખરીદી કરીને પરંપરાગત માળખાને ખલેલ પહોંચાડશે નહીં. આમ છતાં, કલેક્ટર કચેરી દ્વારા અપાયેલી આ નવી પરવાનગીથી તે જૂની સમજૂતીનો ભંગ થયો હોય તેવું જણાય છે. તંત્રના આવા વલણથી શાંતિ ડહોળાવાની શક્યતા વધી ગઈ છે. પેન્ડિંગ અરજીઓ અને તંત્રને અલ્ટીમેટમઅરવિંદ રાણાએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે નવાપુરા અને આસપાસની તમામ પેન્ડિંગ અરજીઓ પર કોઈ પણ સંજોગોમાં મંજૂરીની મહોર મારવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, હું સ્થાનિક લોકોની સાથે છું અને તેમની રજૂઆત સો ટકા વાજબી છે. જો કલેક્ટર અને પોલીસ કમિશનર આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે અને ખોટી પરવાનગીઓ રદ નહીં થાય, તો અમારી પાસે રસ્તા પર ઉતરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા એ જણાવ્યું હતું કે,અમે કલેક્ટર અને વહીવટી તંત્ર સામે વિરોધ કરી રહ્યા છીએ. જે વિસ્તારમાં અગાઉ પરવાનગીઓ નકારવામાં આવી હતી, તે જ વિસ્તારમાં તંત્ર ખોટી રીતે પરવાનગીઓ આપી રહ્યું છે. આ ભ્રષ્ટાચારનો સ્પષ્ટ કિસ્સો છે. સ્થાનિક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, તેમની ચિંતાઓ સત્તાધીશો સુધી પહોંચાડવી એ મારી ફરજ છે. અમે સ્થાનિક સમુદાયની સાથે ઊભા રહીશું અને આમાં સામેલ કોઈપણ અધિકારીઓ સામે જરૂરી પગલાં લઈશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, હું સ્થાનિક લોકોની સાથે છું. તેમની રજૂઆતો વાજબી છે અને પુરાવાઓ સાથેની છે. ભૂતકાળમાં, કલેક્ટરે નજીકની મિલકતો માટે પરવાનગી નકારી કાઢી હતી. હવે, તેની બાજુમાં જ આવેલી મિલકત માટે તેઓ દાવો કરી રહ્યા છે કે ત્યાં નજીકમાં મસ્જિદ છે. પરંતુ ત્યાં કોઈ મસ્જિદ નથી; તેના બદલે ત્યાં જગન્નાથ મહાદેવનું મંદિર છે. સ્થાનિક લોકોએ આ માટેના પુરાવા આપ્યા છે. ખોટી રજૂઆતોના આધારે પરવાનગી આપવાનો અમે સખત વિરોધ કરીએ છીએ.સ્થળ તપાસ થવી જ જોઈએ. જો તેઓ સ્થળની મુલાકાત લીધા વગર ઓફિસમાં બેસીને નિર્ણયો લેતા હોય, તો એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમને વાંધો છે અને અમે આજે તે અવાજ ઉઠાવવા અહીં આવ્યા છીએ.જો આનો ઉકેલ નહીં આવે, તો સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીશું. જો વહીવટી તંત્ર દ્વારા કોઈ ફેરફાર કે સુધારો કરવામાં નહીં આવે, તો અમારી પાસે સ્થાનિક લોકો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા મોડાસાની એમ.એલ. ગાંધી કોલેજ કેમ્પસ ખાતે 'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ડ્રગ્સ વિરોધી સંદેશને સમર્થન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ યુવાનોને ડ્રગ્સના દૂષણ, તેના આરોગ્ય અને ભવિષ્ય પર પડતા ગંભીર પ્રભાવ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે યુવાનોને જીવનમાં નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે, નશાની લત માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને પણ બરબાદ કરી નાખે છે. તેમણે યુવાનોને પોતે નશાથી દૂર રહેવા સાથે પોતાના મિત્રો અને આસપાસના લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અશરફ સૈયદ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, નગરપાલિકા વિપક્ષના નેતા ખાલકભાઈ તેમજ પૂર્વ યુવા પ્રમુખ નિશ્ચલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મદનીભાઈ મલેક દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નશાના વધતા પ્રભાવ સામે જાગૃતિ લાવી સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.
ગુજરાતના આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ આજે ફરી પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો છે. મંત્રીએ સવારે સચિવાલય ખાતે હાજરી આપી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે વાતચીત કરીને વિભાગની ચાલુ કામગીરી, પ્રોજેક્ટ્સ, રાજ્યભરની હોસ્પિટલોમાં સુવિધાઓ અને આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રાજ્યમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચાલાંબા સમયથી સારવાર હેઠળ રહેલા પ્રફુલ પાનસેરિયાના સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેઓ ફરી સક્રિય બન્યા છે. તેમના આગમન સાથે જ આરોગ્ય વિભાગમાં નવી ગતિ અને ઉત્સાહ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આરોગ્ય ક્ષેત્રના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે અને રાજ્યમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં નવી પહેલો અંગે પણ ચર્ચા થઈ રહી છે. મંત્રી પાનસેરિયાના ચાર્જ સંભાળતા જ વિભાગમાં નવી ઉર્જા અને ગતિ જોવા મળી રહી છે, જેનાથી રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની આંગણવાડીઓમાં નવીનીકરણની એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ તાલુકાના વિવિધ ગામોના નંદઘરો હવે બાળકો માટે વધુ આકર્ષક અને સુવિધાજનક બનવા લાગ્યા છે. પાદરા તાલુકા હસ્તકની 48 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 90 ટકા જેટલા નંદઘરોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરિવર્તનથી બાળકોને આંગણવાડીમાં જવું વધુ ગમશે અને એક આદર્શ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ થશે. વિવિધ ગામોમાં કામગીરી પૂર્ણ અને માળખાકીય સુધારો રાજ્ય સરકારના પ્રોત્સાહનથી મોભા, કરખડી, ચોકારી, સાંઢાં, મહુવડ, મુજપુર અને ચાણસદ જેવા ગામોની આંગણવાડીઓમાં નવીનીકરણની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ કાયાકલ્પમાં રાજ્ય કક્ષાની ગ્રાન્ટની સાથે CSR (Corporate Social Responsibility) અને લોકભાગીદારીનો પણ અમૂલ્ય સહયોગ મળ્યો છે. આંગણવાડીઓની અંદર-બહાર સ્વચ્છતા, નાનું-મોટું સમારકામ, રંગરોગાન અને બાળકોને આકર્ષે તેવા સુંદર શૈક્ષણિક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. બાકીના નંદઘરોમાં પણ કામગીરી હાલ વેગમાં ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના ENT વિભાગે તબીબી જગતમાં એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ 60 વર્ષીય મહિલા દર્દીના ગળામાં રહેલી 12x9 સેમીની મહાકાય કેન્સરગ્રસ્ત ગાંઠને સાડા ચાર કલાકના જટિલ ઓપરેશન બાદ સફળતાપૂર્વક દૂર કરી છે. મહત્વનું છે કે, ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ માગી લેતી આ સર્જરી સરકારી યોજના હેઠળ તદ્દન મફત કરવામાં આવતા ગરીબ પરિવાર માટે સિવિલના તબીબો દેવદૂત સાબિત થયા છે. ગાંઠના કારણે શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતીપ્રાપ્ત વિગતો અનુસાર આ વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી ગળામાં મોટી ગાંઠની સમસ્યાથી પીડાતા હતા. સિવિલની ENT OPDમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની છે અને તેમાં કેન્સરના લક્ષણો છે. ગાંઠનું વજન આશરે 400 ગ્રામ જેટલું હતું અને તેનું કદ એટલું વિશાળ હતું કે તેને કારણે ગળાની અંદરની શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતી, જેના પગલે દર્દીનું હિમોગ્લોબિન અત્યંત ઓછું હોવાથી ઓપરેશન પૂર્વે 3 યુનિટ લોહી ચડાવી સ્થિતિ સ્થિર કરવામાં આવી હતી. ગાંઠને લીધે શ્વાસનળીનો આકાર બદલાઈ ગયો હતો11 ફેબ્રુઆરીના રોજ ડો. યોગેશ ગજ્જર અને કેન્સર સર્જન ડો. મોહિત કોરાટની ટીમે આ જટિલ સર્જરી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં સૌથી મોટો પડકાર દર્દીને બેભાન કરવા માટેની ટ્યુબ નાખવાનો હતો. કારણ કે, ગાંઠને લીધે શ્વાસનળીનો આકાર બદલાઈ ગયો હતો. જોકે એનેસ્થેસિયા વિભાગના ડો. ધારાબેન અને ડો. વિશ્વાબેને ફ્લેક્સિબલ લેરીન્ગોસ્કોપ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પડકારને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. દર્દીનો બે લાખનો ખર્ચ બચ્યો, તબિયત સુધારા પરત્યારે આટલી મોટી જોખમી સર્જરી જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે 1.5થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ ગાંધીનગર સિવિલમાં આ સર્જરી સરકારની આયુષ્માન ભારત (PMJAY) યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. હાલમાં દર્દીની તબિયત સુધારા પર છે અને તેમને ICUમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સિવિલના તબીબોની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે.
ગુજરાત વિધાનસભામાં ખાનગી વિધેયકોની અગ્રતા નક્કી કરવા માટે યોજાયેલી બેલેટ પ્રક્રિયાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા નિયમ 140(ક) મુજબ ગૃહમાં કાર્યવાહી માટે 10 ફેબ્રુઆરીએ બેલેટ દ્વારા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના આધારે કયા ખાનગી વિધેયકને પહેલાં ચર્ચા અને રજૂઆતની તક મળશે તે નક્કી કરવામાં આવ્યું છે. બેલેટ પરિણામ મુજબ પીડિતોની સારવાર માટે વિશેષ ફંડ ઉભું કરવાની જોગવાઈ કરતું ખાનગી વિધેયક પ્રથમ ક્રમે આવ્યું છે, જેને ગૃહમાં અગ્રતા મળશે. આ વિધેયકને લઈને સદસ્યોમાં ખાસ રસ જોવા મળ્યો હતો. બીજી તરફ જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત વિધેયક પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે બેરોજગારોને ભથ્થું આપવા બાબતનું ખાનગી વિધેયક નવમા ક્રમે રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાનગી વિધેયકો રજૂ કરવા પ્રસ્તાવ આવ્યા હતા. તેમાં કેન્સર અને ડ્રગ્સ વ્યસન મુક્તિ માટેનું વિધેયક ડો. હસમુખ પટેલ દ્વારા રજૂ કરાયું છે. ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક અને બેરોજગારી ભથ્થા સંબંધિત વિધેયક ઈમરાન ખેડાવાલા દ્વારા રજૂ કરાયા છે. રમતવીર પ્રોત્સાહન વિધેયક હાર્દિક પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે આરોગ્યનો અધિકાર વિધેયક અર્જુન મોઢવાડિયાએ રજૂ કર્યો છે. જળ પ્રદૂષણ નિવારણ વિધેયક અમિત શાહ દ્વારા રજૂ કરાયું છે, જ્યારે અશાંત ધારો (સુધારા) વિધેયક પણ ઈમરાન ખેડાવાલા દ્વારા પ્રસ્તાવિત છે. હવે ગૃહમાં અગ્રતા મુજબ ખાનગી વિધેયકો પર ચર્ચા હાથ ધરાશે અને સભ્યો પોતાના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરશે. બેલેટ પ્રક્રિયા બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે, કારણ કે અનેક સામાજિક અને જાહેર હિતના મુદ્દાઓ હવે ગૃહમાં ગુંજવાના છે.
છોટા ઉદેપુરમાં ₹2.64 લાખનો દારૂ ઝડપાયો:ઈકો ગાડીમાંથી 1006 બોટલ સાથે એકની ધરપકડ
છોટા ઉદેપુર જિલ્લામાં રંગપુર પોલીસે કટારવાંટ પાસે ઓરસંગ પુલ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,64,050/- ની કિંમતનો દારૂ મળી આવતા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹5,14,050/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રંગપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. જલ્પાબેન પંડ્યાને બાતમી મળી હતી. બાતમી મુજબ, મધ્યપ્રદેશના કઠિવાડાથી એક ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લેહવાંટ તરફ આવી રહ્યો હતો. આ બાતમીના આધારે રંગપુર પોલીસે કટારવાંટ પાસે ઓરસંગ નદીના પુલ પર સઘન નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન, GJ 23 BD 6229 નંબરની શંકાસ્પદ ઈકો ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ₹2,64,050/- ની કિંમતની વિદેશી દારૂની કુલ 1006 બોટલ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો.આ મામલે પોલીસે સાવલી, વડોદરાના રહેવાસી પ્રશાંતભાઈ ગણપતભાઈ પરમારની ધરપકડ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના આવા પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવે છે. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય બુટલેગર વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂનો જથ્થો અમદાવાદમાં ઘૂસાડી રહ્યા છે. થોડા દિવસ પહેલા હેલ્મેટની આડમાં લાખો રૂપિયાના દારૂનો પર્દાફાશ પીસીબીની ટીમે કર્યો હતો. જ્યારે પાર્સલમાં આવતા દારૂનો ભાંડો પણ ક્રાઈમ બ્રાંચે ફોડ્યો હતો. ગઈકાલે ઝોન 4ની લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ નરોડા પોલીસ સંયુક્ત ઓપરેશ હાથ ધરીને દારૂ ભરેલી સફારી કાર ઝડપી પાડી છે. નંબર પ્લેટ બીજી લગાવીને દારૂની હેરફેર થઈ રહી હતી. સફારી કારમાં અલગ-અલગ જગ્યાએ ચોરખાના બનાવી લાવવામાં આવેલો 2.58 લાખના દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કાર સાથે ત્રણની ધરપકડ કરીપોલીસને બાતમી મળી હતી કે, ટાટા સફારી સ્ટ્રોમ કારમાં દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસની ટીમ વોચમાં હતી, ત્યારે એક ટાટા સફારી કાર આવી રહી હતી. નરોડા ગેલેક્સી સર્કલ પાસે કારને રોકીને સચીન જસબીરસિંહ બાંગડ (રહે ઉદયપુર), વિકાશ રણવીર કશ્યપ (રહે, હરીયાણા) અને અરબાઝ ઈસ્તેખાર અહેમદ (રહે, રખીયાલ)ની ધરપકડ કરી હતી. કારમાંથી પોલીસને લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે. મોડીરાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ નરોડા ગેલેક્ષી ચાર રસ્તા ખાતે જાહેર રોડ ઉપર આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો મળ્યો હતો, જેને દિનેશ નામના વ્યકિતએ મોકલાવ્યો હતો. એકબીજાની મદદગારીથી વગર પાસ પરમીટે પોતાની સફેદ કલરની ટાટા સફારી સ્ટ્રોમ ગાડીમાં દારૂ લાવ્યા હતા. કારના દરેક પાર્ટમાંથી દારૂ મળ્યોપોલીસે કારમાં તપાસમાં દરવાજાની અંદર સ્ક્રુ વડે ખોલીને જોતા દરવાજામાંથી દારૂ મળ્યો, ડેકીમાં સ્પેર વ્હીલની જગ્યા પાસેથી, બોનેટમાં એન્જિન પાસેથી એમ કારમાં અલગ-અલગ જગ્યા ચોરખાનું બનાવી લખો રૂપિયાની દારૂ લાવવામાં આવ્યો હતો, જેને પોલીસ ઝડપી પાડ્યો છે. કારની નંબર પ્લેટ પણ ખોટી નીકળીકારની તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, આરોપીઓએ ખોટી નંબર પ્લેટ લાગવી છે. પોલીસે ટાટા સફારી સ્ટ્રોમ ગાડીનો એન્જીન નંબર જોતા તેમજ ચેસીસ નંબર જોયો હતો. બાદમાં ઈ-ગુજકોપ એપ્લીકતેશનમાં સર્ચ કરતા આરટીઓની નંબર પ્લેટ ખોટુ હોવાનું સામે આવ્યુ હતું. ટાટા સફારી સ્ટ્રોમ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અને ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું. પોલીસે આ મામલે ત્રણેયની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને 2.58 લાખ રૂપિયાનો દારૂ, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામલ જપ્ત કર્યો છે.
આજે ભાવનગર સહિત દેશભરમાંના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓએ પડતર માંગણીઓના સમર્થનમાં એક દિવસીય પ્રતીક હડતાલ પાડીને મેનેજમેન્ટ અને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનનો સી.આઈ.ટી.યુ, ઇન્ટુક, આઈટુક, એચ.એમ.એસ, ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇસ એસોસિએશન, ઇન્કમટેક્સ મેડિકલ રેપ્રેઝન્ટેટિવ યુનિયન, ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયરસ ફેડરેશન, રેલ્વે પેન્શનર એસોસીએશન, આંગણવાડી તથા આશા બહેનો સહિતના અલગ અલગ વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓએ એક દિવસીય પ્રતીક હડતાલ પાડી કેન્દ્ર સરકારની નીતિઓ સામે મોરચો માંડ્યો હતો, યુનિયનની મુઇહ્ય માંગણીઓ જેમ કે, 1995થી 2024 સુધીમાં LICમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે 2027 સુધીમાં વધુ 20 થી 30 ટકા સ્ટાફ નિવૃત થવા જઈ રહ્યો છે, 1995માં એક કર્મચારી પર સરેરાશ 631 પોલિસીનું ભારણ હતું, જે આજે વધીને 3500થી વધુ પોલિસી પર પહોંચ્યું છે, સેવામાં ગુણવત્તા જાળવવા માટે યુવા કર્મચારીઓની ભરતી અનિવાર્ય છે, સરકાર દ્વારા 1લી એપ્રિલ 2026થી લાગુ થનારા 4 નવા મજૂર કાયદાઓને 'કાળા કાયદા' ગણાવીને તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે, વીમા ક્ષેત્રમાં 100 ટકા FDI અને LICના ડિસ-ઇન્વેસ્ટમેન્ટ સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,જો LICને ખાનગી કંપનીઓ સામેની સ્પર્ધામાં ટકાવી રાખવી હોય, તો મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે નવી ભરતી કરવી જ પડશે. આ કર્મચારીઓના હિતની સાથે સાથે LICના અસ્તિત્વની લડાઈ છે તેમ LIC એમ્પ્લોઇઝ યુનિયન ના જનરલ સેક્રેટરી કમલેશ ભટ્ટએ જણાવ્યું હતું. ગુજરાતમાં પણ આ હડતાલના સમર્થનમાં ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ સહિતના 20 જેટલા જિલ્લાઓમાં રેલીના કાર્યક્રમો યોજી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ રેલીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ચાર લેબર કોડ રદ કરો, તમામને 26,000 લઘુતમ વેતન આપો, ઓછામાં ઓછું 10000 પેન્શન આપો, આંગણવાડી આશા સહિતના તમામ સ્કીમ વર્કરોને કાયમી કરી લઘુતમ વેતન આપો, મનરેગા નો કાયદો ફરી અમલમાં લાવો, વીજળી સુધારા બિલ 2025 પાછું ખેંચો, સહિતની માગણીઓ કરાશે. આ હડતાલને કારણે આજે LICની કામગીરી પર અસર જોવા મળી છે, કર્મચારીઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો તેમની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
ગુજરાત રાજ્યની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પડતર 18 જેટલી માંગણીઓને લઈ ‘ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન’ દ્વારા સરકારને અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બહેનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો આગામી બજેટમાં તેમના વેતન વધારા અને સ્માર્ટફોન જેવી પાયાની જરૂરિયાતો પર નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેવા આપતી આ આશા વર્કરોને 2018 પછી કેન્દ્ર સરકાર અને 2022 પછી રાજ્ય સરકાર દ્વારા વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટમાં કેસ જીત્યા હોવા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો આક્ષેપ યુનિયનના અગ્રણીઓએ કર્યો છે. બહેનોની મુખ્ય માંગ છે કે, તેમને લઘુત્તમ વેતન મુજબ પગાર મળે અને ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવામાં આવે. સરકાર દ્વારા હવે આશા વર્કરો પર ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે હેતલબેન પટેલ અને પારુલબેન કુરકુટિયાએ જણાવ્યું કે, અમારી પાસે સ્માર્ટફોન નથી, છતાં અંગત મોબાઈલથી કામ કરવા દબાણ કરાય છે. જો સરકારને સ્માર્ટ કામગીરી જોઈતી હોય તો સ્માર્ટફોન, ઇન્ટરનેટ ભથ્થું અને સ્માર્ટ વેતન આપવું પડશે. તેમની મુખ્ય 18 માંગણીઓમાં લઘુત્તમ વેતન અને ફિક્સ પગારની નીતિ અમલમાં મૂકવી, ઓનલાઈન કામગીરી માટે સારા સ્માર્ટફોન અને ટ્રેનિંગ આપવી, કામના કલાકો નક્કી કરી સામાજિક સુરક્ષાના લાભો આપવા, પેન્શન, ગ્રેચ્યુઈટી અને મોંઘવારી મુજબ ઈન્સેન્ટિવ આપવું, તેમજ વર્ષમાં બે જોડી ડ્રેસ અને સિલાઈના નાણાં ચૂકવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. યુનિયને ચીમકી આપી છે કે, જો 10 માર્ચ 2025 સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હડતાળ દરમિયાન જો પ્રસૂતિ કે રસીકરણની સેવાઓમાં કોઈ જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહનું રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે. શહેરને નવું ઓડિટોરિયમ મળી રહે તે માટે હાલમાં ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી અઢી વર્ષમાં નવું ગાંધીનગર ગૃહ તૈયાર થઇ જાય તેવો અંદાજ છે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ તેના માટેની નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનોને એક નવલું નજરાણું આપવામાં આવશે. હાલમાં જે સ્થળે ગાંધીનગર ગૃહ છે, તે જ સ્થળે નવું ઓડિટોરિયમ બનાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. 2153 સ્કવેર ફૂટમાં વિસ્તરેલું આ ગૃહ નવા આકર્ષણ સાથે ઉભું કરવામાં આવશે. 912 વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થાકોર્પોરેશન દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. હાલમાં આ નવા ઓડિટોરિયમના ખર્ચની મંજૂરી માટે કમિશનર પાસે મોકલવામાં આવી છે. હાલમાં આ ગૃહ 912 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા સાથેનું છે જેમાં વધારો કરીને 1035 ની સીટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવશે. અંદાજિત 38 કરોડનો ખર્ચઓડિટોરિયમને બાલ્કની સાથેનો લુક આપવામાં આવશે. સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સાધનોથી આ ઓડિટોરિયમને સજ્જ કરવામાં આવશે. આ ઓડિટોરિયમનો અંદાજિત ખર્ચ 38 કરોડની આસપાસનો આંકવામાં આવ્યો છે. હાલમાં જે જૂનું ગાંધીનગર ગૃહ છે તેની પાસેના શૌચાલયનો ભાગ પણ આ બાંધકામમાં આવરી લેવામાં આવશે અને મોટું ઓડિટોરિયમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આસપાસની પણ થોડી જગ્યા આ ઓડિટોરિયમમાં સમાવિષ્ટ થઇ જશે. પાર્કિંગની સમસ્યા નિવારવા બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થાહાલમાં ગાંધીનગર ગૃહની આસપાસ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. જેનો નિવેડો લાવવા માટે નવા ઓડિટોરિયમમાં બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બેઝમેન્ટ અને સેમી બેઝમેન્ટ એમ બે પ્રકારના પાર્કિંગ હશે. આ પાર્કિંગમાં 55 ફોર વહીલર અને 100 ટુ વહીલર પાર્ક કરી શકાય તેવી વ્યસ્થા ઉભી કરવામાં આવશે. નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવામાં આવશેવડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સીટી એન્જીનીયર પ્રમોદ વસાવાએ જણાવ્યું હતું કે, નવા ગાંધીનગર ગૃહને હેરિટેજ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવશે. વડોદરા શહેરની ઓળખ પ્રમાણે તેની ડિઝાઇન કરવામાં આવશે તેઓએ ઉમેર્યું હતું કે, ખર્ચની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યા બાદ 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. નવા ઓડિટોરિયમમાં આ સુવિધાઓ હશે - જગ્યાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા માટે અર્ધ-ભોંયરામાં પાર્કિંગની જોગવાઈ - વધેલી વાહન ક્ષમતાને સમાવવા માટે સંપૂર્ણ ભોંયરામાં પાર્કિંગનો ઉમેરો - વધુ ઓક્યુપન્સી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1,044 બેઠક વ્યવસ્થાનો સમાવેશ. - પ્રેક્ષકોની ક્ષમતા અને આરામ વધારવા માટે મોટી બાલ્કની બેઠક વિસ્તારનો સમાવેશ. - અપગ્રેડ કરેલ કાર્યાત્મક અને અવકાશી જરૂરિયાતોને ટેકો આપવા માટે ઓડિટોરિયમ બિલ્ડિંગના કદનું વિસ્તરણ. - વડોદરા શહેરના ગીચ વિસ્તારના પાર્કિંગની સમસ્યાને દૂર કરવાના હેતુથી બેઝમેન્ટ બાંધકામ - બેઝમેન્ટ વેન્ટિલેશન અને બેઝમેન્ટ ફાયર ડિટેક્શન સિસ્ટમ - અદ્યતન સ્તરની ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પૂર્વે પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત વિવિધ એજન્સીઓ દ્વારા 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગનાં કારખાના ખાતે ઓચિંતી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 95 એકમોમાં તપાસ કરવામાં આવતા કુલ 55 સ્થળના નમુના અનસેફ જાહેર થયા છે. જેને લઈને આ તમામ એકમો સીલ કરી દેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ 40 કરતા વધુ એકમો સીલ થઈ ચૂક્યા છે. અને બાકીના એકમો સીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આગામી દિવસોમાં રાજકોટનાં તમામ 250 કારખાનાઓમાંથી પાણીના નમૂનાઓ લઈ જ્યાં કોઈપણ પ્રકારની ખામી જણાશે તેવા એકમો સીલ કરવામાં આવશે. રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટરના પ્લાન્ટ પર દરોડા પાડીને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બેડીનાકા વિસ્તારમાં દ્વારિકાધીશ નામે પ્લાન્ટ ધરાવતા કાનાભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્લાન્ટ સીલ રાખવાની સૂચના આપવામાં આવી છે. પરમ દિવસે અધિકારીઓ પ્લાન્ટ પર આવ્યા હતા અને સેમ્પલ લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ જ સીલ ખોલવામાં આવશે. હાલમાં પ્લાન્ટ બંધ છે. જોકે અમારા પાણીનો રિપોર્ટ પોઝિટિવ આવે તેવી આશા છે. જોકે સીલ ક્યારે ખોલવામાં આવશે તેની કોઈ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી નહીં હોવાનુ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પાણીના જગનું વેચાણ કરતા 95 જેટલા એકમોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 55 નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવતા તે 'અનસેટિસફેક્ટરી' જાહેર કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા અપ્રમાણિત 55 જેટલા પાણીના જગ વિતરકોના એકમો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 40થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં બાકી એકમો સીલ કરવામાં આવશે. રાજકોટમાં અંદાજે 250 જેટલા પાણીના જગ વિતરણ કારખાનાઓ છે, જેમના નમૂનાઓની સમયાંતરે તપાસ કરવામાં આવશે. આરોગ્ય અધિકારીએ તમામ વિતરકોને સૂચના આપી છે કે જો તેઓ રો-મટીરીયલ તરીકે બોરવેલના પાણીનો ઉપયોગ કરતા હોય, તો તેને યોગ્ય ક્લોરીનેશન ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ વિતરણ કરવું ખાસ જરૂરી છે. શહેરમાં વોટર સેમ્પલિંગ અને સીલિંગની પ્રક્રિયા હાલ કાર્યરત છે. ખાસ કરીને જે લોકો RO, UV અથવા TDS કંટ્રોલર જેવા ફિલ્ટર પ્લાન્ટ ચલાવે છે, તેમણે સમયાંતરે ફિલ્ટર બદલવા અને દર મહિને પ્લાન્ટનું મેન્ટેનન્સ કરાવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, જગ દ્વારા પાણીનું વિતરણ કરતા વેપારીઓને પણ સ્વચ્છતા અને હાઈજીન જાળવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બરફના મોટા કારખાનાઓ અને FSSAI માન્ય પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના એકમોમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં આરોગ્ય વિભાગ અને કેમિસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ટેસ્ટ અને MPN કાઉન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પાણી મળી રહે. આ માટે રાજકોટમાં મિનરલ વોટર અને બરફ જેવી ઉનાળામાં ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન અને વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. અશુદ્ધ પાણી અને બરફ વેચતા એકમો સામે લાલઆંખ રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા એકમોમાં પાણીની શુદ્ધતા માટેના જરૂરી માપદંડો જાળવવામાં આવતા નહોતા. ઉનાળામાં પાણી અને બરફની માંગમાં તોતિંગ વધારો થતો હોય છે, જેનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 55 એકમો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાણીના નમુના અનસેફ જાહેર થયેલા એકમો * વેસ્ટ ઝોન: જીંજલ સેલ્સ (શાસ્ત્રીનગર), દ્વારકેશ ડ્રિંકિંગ વોટર (રૈયાધાર), વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિશ ડ્રિંકિંગ વોટર (શિતલપાર્ક), દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર (એનિમલ હોસ્ટેલ પાસે), આદિત્ય મિનરલ વોટર, ઝરણાં વોટર સપ્લાયર્સ (શ્યામનગર), રામ આર.ઓ. વોટર, બંસી આર.ઓ. વોટર (રૈયાગામ), શિવ ડ્રિંકિંગ વોટર અને કિસ્મત ડ્રિંકિંગ વોટર સહિતના એકમો. * સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન: દ્વારિકાધીશ મિનરલ વોટર (બેડીનાકા), લીઓ ફ્રેશ વોટર (ગીતાનગર), જીવનદિપ એન્ટરપ્રાઈઝ, આશાપુરા વોટર (લક્ષ્મીવાડી), સૈફા ડ્રિંકિંગ વોટર (પોપટપરા), જય દ્વારકાધિશ વોટર (કેવડાવાડી), જય ચામુંડા મિનરલ વોટર (સોલવન્ટ), ભગવતી વોટર સપ્લાયર (ગુલાબનગર), ઉમેશ મિનરલ વોટર અને ક્રિષ્ના આઈસ ફેક્ટરી (ખોખડદડ નદી પાસે) જેવા એકમોનો સમાવેશ થાય છે. ઉપરાંત સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ અને પરમધામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા અનેક વોટર પ્લાન્ટ્સ પણ નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મનપા દ્વારા હાલ મિનરલ વોટર જગનું વેચાણ કરતા એકમોની તપાસ હાથ ધરી છે. સાથે સાથે મનપા દ્વારા વિતરણ થતા પાણીના નમુના લેવા માટેની કામગીરી પણ ચાલુ છે. જેમાં મનપાના પાણી વિતરણ વ્યવસ્થાના 37 નમૂનાઓ પીવા માટે અયોગ્ય સાબિત થયા છે. જોકે, તમામ ઝોનમાં કેમિકલ પેરામીટરના નમૂનાઓ પાસ થયા છે તે એક રાહતના સમાચાર છે. આગામી દિવસોમાં બરફના કારખાનાઓમાં પણ આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઉનાળા દરમિયાન પાણી ઉકાળીને પીવું અને શંકાસ્પદ જગ્યાએથી બરફ કે પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ.
છેલ્લા છ મહિનાથી વારંવાર ન્યુમોનિયાનો ભોગ બની રહેલા બાળકની વડોદરામાં સારવાર કરવામાં આવતા શ્વાસનળીમાં બોરનો ઠળિયો ફસાયેલો હોવાનું માલૂમ પડ્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબોએ સફળ સર્જરી કરી બાળકની શ્વાસનળીમાં ફસાયેલા ઠળિયાને બહાર કાઢ્યો હતો. 8 વર્ષીય બાળક અને તેના માતાપિતા છ મહિનાથી પરેશાન થઈ રહ્યા હતા અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે જતા હતા પરંતુ, નિદાન થતું ન હતું. અંતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બ્રોન્કોસ્કોપની મદદથી ઠળિયો હોવાનું માલૂમ પડતા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સારવાર કરાવ્યા બાદ માતાપિતા વડોદરા પહોંચ્યા હતારાજસ્થાનના દોલપુર જિલ્લાના 8 વર્ષીય બાળકન ન્યુમોનિયા થવાના કારણે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલના ENT વિભાગમાં દાખલ કરવા માં આવ્યો હતો. આ બાળક છ મહિના અગાઉ જંગલી બોરનો ઠળિયો ગળી જાય છે જે બાબતે માતા પિતા અજાણ હોય છે. ત્યારબાદ દર્દીને ઓક્ટોબર 2025માં 7 દિવસ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં દર્દીને ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વધુ ખર્ચ હોવાથી આખરે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસનળીમાં બોરના ઠળિયાના કારણે વારંવાર શ્વાસનળીનું ઈન્ફેકશન થતું હતુંઆ અંગે ઈએનટી ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ અને એસએસજી હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર ડૉ જયમન રાવલે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં એક આઠ વર્ષનું બાળક વારંવાર શ્વાસનળીના ઇન્ફેક્શન સાથે અમારી જોડે આવ્યું હતું. બાળકના પેરન્ટસને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું કીધું કે પેશન્ટ છ મહિના પહેલા એક્સિડેન્ટલી દેશી બોરનો ઠળિયો ગળી ગયો હશે. જેના કારણે એને વારંવાર શ્વાસનળીનું ઇન્ફેક્શન થતું હતું. આ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ રહ્યું હતું, એના માટે એને શ્વાસનળીની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી સાથે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા પણ કોઈ સુધારો થયો નહોતો. બાળકને વારંવાર કફિંગ અને શ્વાસનું ઇન્ફેક્શન થયા કરતું હતું. જેથી તે રાજસ્થાનથી આપણી વડોદરાની પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સારવાર માટે આવ્યો હતો. જ્યાં તેના બાળકોના વિભાગમાં બધા ટેસ્ટ કરવામાં આવ્યા અને એને ન્યુમોનિયા તરીકે ટ્રીટ કરવામાં આવ્યું હતું. ત્યાં લગભગ બાળક એક મહિના સુધી એડમિટ રહ્યું પણ એની કોઈ ફર્ક પડ્યો નહીં. તેના પછી બાળકનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો તેમ જાણવા મળ્યું કે બાળક હિસ્ટ્રી આપતું હતું એ પ્રમાણે એની શ્વાસનળીમાં ફેફસામાં જમણી બાજુ બોરનો ઠળિયો ફસાઈ ગયેલો હતો. જેના કારણે એને આ તકલીફ રહેતી હતી. ત્યાં બાળકને અગાઉ આગળની ટ્રીટમેન્ટ માટે બહુ એફોર્ડિંગ નહોતું એટલે બાળકને અહીં રીફર કરવામાં આવ્યું હતું. 6 મહિના સુધી શ્વાસનળીમાં બોરનો ઠળિયો ફસાયેલો રહ્યોવધુમાં કહ્યું કે, બાળક જે દિવસે અહીં દાખલ થયું તરત અમે રાત્રે એના બધા બીજા ટેસ્ટ કરાવી, અહીંના બાળકોના ડોક્ટરને બતાવી અને બીજા જ દિવસે એને બ્રોન્કોસ્કોપી (જેને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કહીએ છીએ) એના માટે અમે સર્જરીમાં પોસ્ટ કરી દીધું હતું. બીજે દિવસે સવારે બ્રોન્કોસ્કોપી કરીને જોયું તો શ્વાસનળીમાં ઠળિયો ફસાયેલો જ હતો જે તરત કાઢી નાખવામાં આવ્યો છે. આ કિસ્સામાં મહત્વની નબાત એ છે કે છ મહિનાથી બાળક શ્વાસનળીમાં બોરનો ઠળિયો લઈને ફરતું હતું, વારંવાર એને ન્યુમોનિયા થયા કરતો હતો અને જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો અંદરથી ફોરેન બોડી નીકળી હતી. ફોરેન બોડી પાંચ તારીખના સીટી સ્કેનમાં જમણી બાજુની શ્વાસનળીમાં હતું. જ્યારે અમે બ્રોન્કોસ્કોપી કરીને દૂરબીનથી કાઢ્યું તો એ ખસીને જમણી બાજુથી ડાબી બાજુ આવી ગયું હતું. પણ એને વ્યવસ્થિત રીતે રિમૂવ કરી દેવામાં આવ્યું છે. નાના બાળકોના માતાપિતાને તબીબનું ખાસ સૂચનવધુમાં કહ્યું કે, બાળકની હાલત અત્યારે એકદમ સુધારામાં છે. જ્યારે બાળકો આવા લાંબા સમયથી ન્યુમોનિયાની કમ્પ્લેન લઈને આવતું હોય, જેમાં એન્ટીબાયોટીકથી ઇમ્પ્રૂવમેન્ટ ના થતું હોય, એવા કેસમાં બાળકનું પ્રોપર ઈએનટી (ENT) ઇવેલ્યુએશન કરાવવું જોઈએ. કારણ કે આજકાલ એવા ઘણા કિસ્સા બને છે કે બાળક રમતા-રમતા કોઈપણ પ્રકારના સીડ્સ, ઠળિયા, રમકડાં, પીન, સિક્કા, કચુકા આવું બધું ગળી જતા હોય છે. તો એક પેરેન્ટ્સ માટે એક મેસેજ એ છે કે બાળકને આવું લાંબા સમયથી શ્વાસનળીની તકલીફ રહેતી હોય અને જરા પણ ડાઉટ હોય તો એમણે તરત ઈએનટી સર્જનનો અને બાળકોના ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. બાળકના માતાપિતાએ રાહતનો શ્વાસ લીધોબાળકના પિતાએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી અહીંયા સારવાર માટે આવ્યો છું. અહીંયા ખૂબ સારી સુવિધા છે, દીકરો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને ન્યુમોનિયાની બીમારી બતાવવામાં આવી હતી. રાજસ્થાન સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી પરંતુ કોઈ ફર્ક પડ્યો નહોતો. છેલ્લા એક વર્ષથી તે ને આ બીમારી હતી. અહીંયા આવ્યા બાદ બોરનો ઠળિયો બહાર કાઢવામાં આવ્યો છે. આ સર્જરી માટે ENT વિભાગના તબીબની ટીમ ડૉ.જયમન રાવલ અને ડૉ. આનંદ ચૌધરી તથા એનેસ્થેટિસ્ટ ડૉ નિમિષા અને ડૉ દીપિકા દ્વારા દર્દી ને બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા દ્વારા ડાબી બાજુના ફેફસાની નળીમાંથી ફસાયેલો જંગલી બોરનો ઠળિયો જે જમણી બાજુથી ખસીને ડાબી બાજુ ગયો હતો, સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 તથા નિયમ 10(2) મુજબ હાથ ધરાશે. એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશેજાહેરનામા અનુસાર, ઉપાધ્યક્ષ પદ માટેની ઉમેદવારી દરખાસ્ત 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યા સુધી રજૂ કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણી પ્રક્રિયામાં એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ પણ સભ્ય પોતાનાં નામની દરખાસ્ત રજૂ કરી શકશે નહીં. ઉમેદવારી માટે અન્ય સભ્ય દ્વારા દરખાસ્ત રજૂ કરવી ફરજિયાત રહેશે. 16 ફેબ્રુઆરીએ ગૃહમાં મતદાનઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને સત્તાધારી તથા વિપક્ષ પક્ષોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. 16 ફેબ્રુઆરીએ ગૃહમાં મતદાન બાદ નવા ઉપાધ્યક્ષની પસંદગી થશે.
અમદાવાદ શહેરની આરાધ્ય દેવી નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની બીજી નગર યાત્રા 26મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે યોજાવાની છે. નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ અંગે માહિતી આપી હતી. આ વખતે આ યાત્રાની ખાસિયત એ રહેશે કે, આ વખતે ખાડિયા અને રાયપુર વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને રથમાં બિરાજમાન કરવાથી થશે. આ નગરયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી શકે તેવી શક્યતા છે. તેમના હસ્તે યાત્રાનો પ્રારંભ થઈ શકે તેવી શક્યતા છે. માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશેનગરયાત્રાનો રૂટ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને આવરી લેતો રહેશે. ત્રણ દરવાજા ખાતે અખંડ દીવાના દર્શન માટે રથ બે મિનિટ માટે રોકાશે. માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી યોજાશે. રતનપોળ અને ખાડિયા ચાર રસ્તા પાસે પાંચ મિનિટનો વિરામ રહેશે. આગળ રાયપુર ચકલા સ્થિત ચક્રેશ્વર મહાદેવ મંદિરે આરતી અને દર્શન થશે, જ્યારે ઢાળની પોળ ખાતે પાંચ મિનિટ રોકાણ રહેશે. મ્યુનિસિપલ કોઠા ખાતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવશે. મહાલક્ષ્મી મંદિરે 20 મિનિટનો વિરામ હશે યાત્રા જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં નગરદેવી નગરદેવતાના દ્વારે જઈ આરતી થશે. ત્યારબાદ રિવરફ્રન્ટ સ્થિત મહાલક્ષ્મી મંદિરે સાબરમતી માતાની આરતી સાથે 20 મિનિટનો વિરામ રાખવામાં આવ્યો છે. વસંત ચોક સ્થિત ગણેશ મંદિરે આરતી બાદ યાત્રા બહુચરાજી મંદિરે પહોંચશે. અંતે યાત્રા નિજ મંદિરે પરત ફરશે અને ત્યાં 15 મિનિટનો નાનકડો હવન યોજાશે. 5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજનનગરયાત્રા દરમિયાન 500 કિલો બુંદીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે. યાત્રાના સમાપન પ્રસંગે 5થી 7 હજાર લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાડુ અને ફૂલવડી પ્રસાદરૂપે પીરસાશે. આ નગરયાત્રાને લઈને શહેરના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

28 C