SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ભાસ્કર વિશેષ:સુરતીઓને મોંઘવારી નડતી નથી, વર્ષ 2025માં 160 કરોડનું સોનું ખરીદ્યું, ગત વર્ષ કરતાં ડબલ, જીએસટી વિભાગ પણ 48 કરોડથી વધુ ટેક્સ કમાયું

સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં સોનાના ભાવ તો ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ તો જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય પરંતુ સુરતમાં ઉલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોનુ-ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયુ છે. ગત વર્ષે જ્યાં 70 કરોડનું વેચાણ થયુ હતુ ત્યાં આ વખતે 2025માં 160 કરોડથી વધુનું વેચાણ થયુ છે. જીએસટી વિભાગને આ વેચાણ પર ટેક્સ પણ 48 કરોડથી વધુનું મળ્યુ છે. ત વર્ષે સોનાનો સરેરાશ ભાવ 79 હજાર હતો, આજે 1.63 લાખ છે શહેરમાં 200થી વધુ વેપારી જીએસટીના જે એચએસએન કોડમાં સોના-ચાંદી અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેની સંખ્યા 200થી વધુ છે. આ ઉપરાંત જિલ્લામા પણ 70થી વધુ વેપારીઓ છે. અધીકારી સૂત્રો કહે છે કે સોના-ચાંદીના વેપારીઓએ જે વેચાણ થાય તેની પર ત્રણ ટકા ટેક્સ ભરવાનો હોય છે. એટલે કે ફાઇનલ બિલ પર લોકો પાસેથી ત્રણ ટકા જીએસટી વસુલવામા આવે છે. વર્ષ 85 કરોડથી વધુનુ વેચાણ હતુ જેની પર 25 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં તેમાં 160 કરોડથી વધુનુ વેચાણ થયુ છે. જેની પર 48 કરોડ જેટલો ટેક્સ આવ્યો છે. સોના-ચાંદીના જે ડેટા વિભાગ પાસે છે તેના કરતા માર્કેટમાં વેચાણ વધુ હોવાની આ આંકડાઓ પરથી લાગી રહ્યુ છે આથી કેટલાંક જ્વેલર્સ વિભાગને જરૂરી ડેટા આપી રહ્યા નથી એની પણ પ્રતિતિ થઈ રહી છે. એટલે જે વેચાણ થાય છે તે ચોપડા પર બતાવવામા આવતુ નથી. ખરીદીનો પર્પઝ પણ અલગ હોય છેલોકો બે રીતે ખરીદી કરે છે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે અથવા તો રોકાણ કરવુ હોય. સામાન્ય રીતે સોનાના ભાવ વધે તો લોકો ખરીદી ટાળવાની જગ્યાએ જરૂરિયાત ઘટાડીને પણ પ્રસંગ માટે ખરીદી કરતા હોય છે. ભાવ સતત વધતા ગયા તો બની શકે લોકો આ તરફ વળે. બીજા એ લોકો છે જે રોકાણ માટે કરતા હોય છે. - દીપ ઉપાધ્યાય, સી.એ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:23 am

હનિટ્રેપનો મામલો આવ્યો સામે:CCTV હેક કરી ડૉક્ટર મસાજ કરાવતા હોય તેવો વીડિયો બનાવી રૂપિયા પડાવવાનો કારસો

પાલડીમાં ક્લિનિક ધરાવતા તબીબને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડ્યંત્ર પકડાયું છે. ડૉક્ટર પાસેથી રૂ. 5 હજાર પડાવ્યા બાદ 40 હજાર માગીને સમાજ-મિત્રોના ગ્રૂપમાં ન્યૂડ ફોટો-વીડિયો વહેતાં કરવાની ધમકી આપી હતી. રોજ મળી રહેલી ધમકીથી ત્રસ્ત ડૉક્ટરે ફરિયાદ નોંધાવતાં પાલડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ક્લિનિકના સીસીટીવી કૅમેરા હેક કરી, અસલ વીડિયોમાં ચેડાં કરીને ડૉક્ટર ક્લિનિકમાં જ બોડી સમાજ કરાવતા હોવાના વીડિયો બનાવ્યા હતા. પાલડીમાં ક્લિનિક ધરાવતા 49 વર્ષના સીરાજભાઈ (49) (નામ બદલ્યું છે)ને 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યે વોટસએપમાં એક વીડિયો આવ્યો હતો. તેમાં 27 માર્ચ, 2025એ બપોરે 3.25 વાગ્યે ડૉક્ટર ક્લિનિકની પર્સનલ કેબીનમાં યુવતી પાસે બોડી મસાજ કરાવી રહ્યા હતા. આ સાથે લખાણ લખ્યું હતું કે અમારી પાસે તમારા આવા ઘણા ન્યૂડ વીડિયો - ક્લિપ છે. વીડિયો ડિલીટ કરવાના રૂ. 35 હજાર થશે. સાથે જ આ વીડિયો સમાજ-મિત્રોના ગ્રૂપમાં મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. એક ક્યુઆર કોડ સ્કેનર પણ મોકલ્યું હતું પરંતુ કોઈ મજાક કરતું હોવાનું માનીને પૈસા મોકલ્યા ન હતા. ત્યાર પછી બદનામ કરવાની ધમકી આપતાં ડૉક્ટર ગભરાઈ જતાં તેમણે સ્કેનરમાં રૂ. 5 હજાર મોકલ્યા હતા. એ પછી રૂ. 40 હજાર માગ્યા હતા. આ અંગે ડૉક્ટરે મિત્રોને વાત કરતાં તેમને સાથે રાખીને ડૉક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૅમેરા કેવી રીતે હેક કર્યા, વીડિયોમાં ચેડાંની તપાસ શરૂ કરાઈપોલીસ કહે છે, એક આરોપીની અટકાયત કરાઈ છે પણ ષડ્યંત્રમાં અન્યોની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ કૅમેરા કેવી રીતે હેક કર્યા અને વીડિયોમાં ચેડાં કરીને ન્યૂડ વીડિયો કેવી રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ફેસબુક પેજનો ફોટો મોકલીને ગઠિયાએ વિઝિટ કરવા કહ્યું હતુંઆરોપીએ ડૉક્ટરને ફેસબુક પેજનો ફોટો મોકલીને વિઝિટ કરવા કહ્યું હતું. ડૉક્ટરે વિઝિટ કરતાં તેમાં ક્લિનિકનું નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. ત્યાં ડોક્ટરને 3 વીડિયો પણ હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:17 am

ગોઝારો અકસ્માત સર્જાયો:રોંગસાઇડમાં આવેલું એક્ટિવા અથડાતાં બાઇકચાલકનું મોત, પત્નીને ગંભીર ઈજા

બારેજા બ્રિજ પાસે રોંગસાઇડમાં પુરપાટ ગતિએ આવી રહેલા એક્ટિવાચાલકે બાઇકને ટક્કર મારી હતી. આથી બાઈકસવાર દંપતી પટકાતાં પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને હૉસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે અસલાલી પોલીસે ફરાર એક્ટિવાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દંપતી મોરજ ગામથી લગ્નપ્રસંગ પૂર્ણ કરીને બાપુનગર ઘરે જઈ રહ્યા હતા. બાપુનગરના ભરતભાઈ પટેલ 5 ફ્રેબ્રુઆરીએ પત્ની ભાવનાબહેન સાથે બાઈક લઈને સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી મોરજ ગામ ગયા હતા. રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે બારેજા બ્રિજ પાસે સર્વિસ રોડ પર રોંગસાઇડમાં એક્ટિવા ચાલક પુરપાટ ગતિમાં આવ્યો હતો અને બાઈકને ટક્કર મારી હતી. આથી ભરતભાઈ અને તેમનાં પત્ની પટકાયાં હતાં. ભરતભાઈને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ભાવનાબહેનને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે અસલાલી પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 10 અકસ્માતે 1 અકસ્માત રોંગસાઈડના કારણે થાય છેવર્ષ 2025માં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 1427 અકસ્માતો સર્જાયા હતા. જે અકસ્માતો પૈકી 148 અકસ્માતો રોંગસાઈડના કારણે જ થયા હતા. એટલે કે દર 10 અકસ્માતે એક અકસ્માત રોંગસાઈડના કારણે થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઈડની અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને કુલ 1.77 લાખથી વધુ કેસ કરીને 36.31 કરોડનો દંડ ફટકાર્યો છે. છતા લોકો રોંગસાઈડમાં વાહન ચલાવી રહ્યા હોવાથી અકસ્માત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:15 am

અમદાવાદની 8 મહિલા વકીલે ફોર્મ ભર્યાં:પ્રથમ વાર 20 મહિલા બાર કાઉન્સિલની ચૂંટણી લડશે

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 30 ટકા મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરાતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 62 વર્ષના ઇતિહાસમાં 7 મહિલા વકીલ પ્રતિનિધિત્વ કરશે. તેમાં 5 મહિલા જીતશે જ્યારે 2 મહિલાની બીસીઆઇ દ્વારા કો-ઓપ્ટ તરીકે નિમણૂક કરાશે. 6 માર્ચે યોજાનારી ચૂંટણી માટે રાજ્યમાંથી 103 ફોર્મ ભરાયાં છે. પ્રથમવાર અમદાવાદની 8 સહિત કુલ 20 મહિલાએ ઝંપલાવ્યું છે. બાર કાઉન્સિલના સેક્રેટરી સિદ્ધિ ભાવસારે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હસમુખ પરીખ, મિલન પટેલ અને રશ્મિન જાનીની નિમંણૂક કરાઇ છે. ચૂંટણીમાં રાજ્યનાં 278 વકીલ મંડળના કુલ 76,579 મતદાર મતદાન કરશે. 150 મથકો બનાવાશે. અમદાવાદમાં જ માત્ર 2 મતદાન મથકો રહેશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા અટલ હોલમાં 14,679 મતદારો મતદાન કરશે જ્યારે હાઈકોર્ટ પરિસરમાં 3962 મતદારો મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:13 am

ભાસ્કર એક્સક્લુસિવ:ડાયાબિટીસ, હાઈ-બીપી, ગ્લુકોમા અને નજીકથી ફોન જોવાની ટેવને કારણે આંખમાં એટેક આવવાનું જોખમ

બાળકો અને યુવાનોમાં વધતા આંખના રોગો અંગે શહેરમાં બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. તેમાં થયેલી ચર્ચા પ્રમાણે મગજ અને હૃદયમાં બ્લોકેજ થતાં એટેક આવે છે, તેવી જ રીતે રેટીનામાં બ્લોકેજ થતાં આંખમાં એટેક આવે છે. આઇ સર્જન અને ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટીની કોન્ફરન્સના માનદ્ સચિવ ડૉ. જગદીશ રાણા જણાવે છે કે આંખમાં આવતા એટેકને તબીબી ભાષામાં ‘રેટીના વેઇન ઓક્લુઝન’ કહે છે. કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને વિટ્રીઓ રેટીના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડૉ. પાર્થ રાણા જણાવે છે કે ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ-બીપી સાથે નજીકથી ફોન જોવાની ટેવને કારણે આંખનો એટેક આવે છે. રેટીના વેન ઓક્લુઝન રોગ કેવી રીતે થાય છે? આ રોગના મહિને 4થી 5 કેસ આવે છેલક્ષણો શું છે? - અચાનક અથવા ધીમે ધીમે દૃષ્ટિ ઘટવી, ધૂંધળું દેખાવું, એક આંખમાં વધારે જોવા મળે. કોને થઈ શકે? - 50થી વધુ વયના હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધારે હોવું, ગ્લુકોમા, ધૂમ્રપાન, લોહી જાડું થવાની બીમારીના દર્દીને થઈ શકે. નિદાન કેવી રીતે થાય છે? - આંખની સંપૂર્ણ તપાસ, ઓસીટી સ્કેન, ફ્લોરેસીન એન્જિયોગ્રાફી, બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ ટેસ્ટથી રોગનું નિદાન થાય છે, સારવારથી રોગ સંપૂર્ણ મટતો નથી, પણ દ્રષ્ટિ સુધારી શકાય. નુકસાન અટકાવવા રૂ. 1 લાખનું એકથી લઇને ચારથી પાંચ ઇન્જેક્શન દર મહિનાને અંતરે અપાતા હોય છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:12 am

ઈગ્નુએ લોન્ચ કર્યો નવો કોર્સ:હવે ઘરે બેઠા ફેશન ડિઝાઈનર બનાશે, નવો ઓનર્સ કોર્સ લોન્ચ

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ફેબ્રુઆરી-2026ના સત્રથી 'બીએસસી (ઓનર્સ) ઇન ફેબ્રિક એન્ડ અપેરલ ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. 4 વર્ષીય આ સ્નાતક કાર્યક્રમ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટેક્સટાઈલ અને ફેશન ડિઝાઈનિંગની ઊંડી સમજ આપી ઉદ્યોગ માટે તૈયાર કરવાનો છે. કુલ 120 ક્રેડિટના આ પ્રોગ્રામમાં પ્રેક્ટિકલ સ્કીલ્સ પર વિશેષ ભાર મુકાયો છે. મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન અપાયો

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:06 am

નોકરી ન્યુઝ:NIAમાં 88 જગ્યા ભરાશે 1.42 લાખ સુધીનો પગાર

ગુજરાત પોલીસના ‘સુપર કોપ્સ’ માટે હવે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે દેશની પ્રીમિયર તપાસ એજન્સી NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. એનઆઈએમાં વિવિધ 88 જગ્યાઓ ભરાશે. જેમાં પસંદગી પામનાર અધિકારીઓને સાતમાં પગાર પંચ મુજબ 1.42 લાખ સુધી પગાર મળવાપાત્ર થશે. ભરતી પ્રક્રિયામાં લાયકાતના ધોરણોમાં ગ્રેજ્યુએટ સાથે ધોરણ-12 પાસ એવા પોલીસ કર્મચારીઓ કે જેમને ઈન્વેસ્ટિગેશન કે પછી ઈન્ટેલિજન્સનો અનુભવ હોય તે ફરજિયાત છે. ખાસ આતંકવાદ વિરોધી કામગીરી કે ગુના શોધવાની કળામાં માહેર પોલીસકર્મીઓ માટે શ્રેષ્ઠ તક છે. ઈન્સ્પેક્ટરથી હેડ કોન્સ્ટેબલમાં કેટલી જગ્યા ભરાશે

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:03 am

ભાસ્કર એક્સક્લુસિવ:કોર્પોરેટ વર્લ્ડના પ્લેસમેન્ટમાં 6 વર્ષ દરમિયાન CMAને જોબ ઓફરમાં 40 ટકાનો વધારો

કોર્પોરેટ વર્લ્ડમાં નાણાંકીય વ્યવસ્થાપન, ખર્ચમાં ઘટાડો કરવા સહિતની વિવિધ બાબતોને લગતા નિષ્ણાતોની વધેલી માંગેને પગલે સીએમએ (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ના છ વર્ષોના પ્લેસમેન્ટમાં કરાતી જોબ ઓફરની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. સીએમએ પાસ આઉટ ઉમેદવારોને પાંચ વર્ષોમાં 13થી વધુ સેક્ટરની કંપનીઓએ વાર્ષિક 5થી 16 લાખ સુધીનું પેકેજ ઓફર કરાયું છે. ચાલુ વર્ષે સર્વાધિક એટલે કે વાર્ષિક 12.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. સારા પગાર સાથે સીએમએના પ્લેસમેન્ટના આ રહ્યાં કારણો વર્ષ પ્રમાણે કરાયેલી જોબ ઓફર્સ અને પેકેજ આ 13થી વધુ સેક્ટરની કંપનીએ જોબ પાસઆઉટ ઉમેદવારોને ઓફર કરીટેલિ કોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, બેન્કિગ, કેમિકલ્સ, એનબીએફસી કન્સલ્ટન્સી ફર્મ, પ્લાસ્ટિક, કન્સ્ટ્રકશન, પેકેજિંગ, ઓટોમોબાઈલ,ગ્રીન એનર્જી, ડેરી પ્રોડક્ટ,હોટલ ઈન્ડસ્ટ્રીઝસ, લોજિસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

એલસીબીની કાર્યવાહી:સ્મશાનની ઓરડીમાંથી વિદેશી દારૂના 956 ચપટા મળી આવ્યા

રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર દરોડો પાડી ઓરડીમાં રાખેલ વિદેશી દારૂના 956 ચપટા એલસીબીએ કબ્જે કર્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે રાણા વડવાળા ગામ બાયપાસ નજીક પહોંચતા બાતમી મળેલ કે, રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કોઇએ વેચવા માટે છુપાવેલ છે. જેથી સ્ટાફે સ્મશાનની ઓરડીની છત પર તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ 20 જેમાં 956 ચપટા મળી આવતા પોલીસે કુલ રૂ. 2,86,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આ સ્થળે કોઈ શખ્સ મળી આવેલ ન હોય જેથી અજાણ્યા શખ્સ વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મનપાએ ચેકીંગ ઝુંબેશ આદરી:4 સ્થળેથી 80 મણ ઘાસચારો જપ્ત‎કરી ગૌશાળા ખાતે મોકલી દેવાયો‎

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આમછતાં ઘાસચારો વેંચાઈ રહ્યો છે ત્યારે મનપા ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 4 સ્થળેથી જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી સ્વરૂપે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો નાખવાથી પશુઓ એકત્ર થાય છે અને રોડ પર અડ્ડો જમાવી બેસે છે જેને કારણે લોકોને મુશ્કેલી પડે છે. જેને કારણે કલેક્ટર દ્વારા પશુઓને જાહેર સ્થળ પર ઘાસચારો ન નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના અમલીકરણ માટે મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને થોડા મહિનાથી ચેકીંગ બંધ કર્યું હતું ત્યારે ફરી ચેકીંગ કામગીરી શરૂ કરી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ઓફિસર જગદીશ ઢાંકીની સૂચનાથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વનરાજ ટીંબા સહિતની ટીમ દ્વારા ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમ્યાન વિવિધ વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચતા શખ્સો મળી આવતા, તેઓની સામે કાર્યવાહી કરી કુલ 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરી આ ઘાસચારો મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે પશુઓ માટે મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરનાર 24 વેપારીને‎રૂ.16,300નો દંડ ફટકારી 868 કિલો પ્લાસ્ટિક જપ્ત

પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ મૂકવા માટે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર ગત જાન્યુઆરી માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ગ્રાહકોને આપતા હોય તેવા 24 વેપારી ઝડપાયા હતા. તેમની પાસેથી વહીવટી ચાર્જ તરીકે રૂ.16,300 વસૂલ કરી, અંદાજે 868 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર, જાહેર સ્થળોએ દબાણ કરનાર તથા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 30 વ્યક્તિ સામે કાર્યવાહી કરી રૂ. 10,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.મનપાએ જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે આવી ઝુંબેશ નિયમિત રીતે આગળ પણ ચાલુ રાખવામાં આવશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો ડસ્ટબિનમાં જ નાખે અને ડોર-ટુ-ડોર કચરા વાહનમાં જ ઠાલવવામાં આવે તેવી અપીલ પણ કરી છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે રૂ. 100થી લઈને રૂ.5,000 સુધીનો દંડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

આર્થિક સ્થિતિ કફોડી બની‎:ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળી ગોડાઉન સુધી પહોંચડનાર ટ્રક ચાલકોને ભાડું ન ચૂકવાયું

પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી સેન્ટરમાં ખરીદી કરેલ મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસ ભાડાનું પેમેન્ટ ન ચુકવવામાં આવતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.જેથી ટ્રક ચાલકો ભાડા ચૂકવવા માંગ કરી હતી. પોરબંદરના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી.પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીને ગોડાઉનમાં પહોંચાડવા માટે ટ્રક મારફતે મગફળી પહોંચડવામાં આવી રહી છે.ત્યારે મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસથી ભાડાની રકમ ન ચુકવવામાં આવતા હાલ આ ટ્રક ચાલકોને ડિઝન સહિતના પેમેન્ટ માટે આર્થિક સ્થિતિ દયનિય બની છે તો આ ટ્રક ચાલકો અવાર નવાર ભાડાના પૈસા ચૂકવવા માગણી પણ કરવામાં આવી હતી તેમછતાં રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી જેને લઈને ટ્રક ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.તેમજ આ ટ્રક મગફળીના ભરેલા પણ 7 થી 8 દિવસ સુધી પડ્યા રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મગફળી ભરેલ છેલ્લા 7 થી 8 દિવસથી ભરેલો પડ્યો છે. તેને ખાલી કરવા માટે કોઈ જવાબ મળી રહ્યો નથી .છેલ્લા બે મહિનાથી ટ્રક ચલાવી રહ્યા હોવા છતાં, હજુ સુધી તેમને પૂરતું પેમેન્ટ મળ્યું નથી.જયારે ટ્રાન્સપોર્ટર ને ફોન કરે ત્યારે ગોડાઉન ખાલી ન હોવાનું અને પૈસા આવ્યા ન હોવાનું જણાવી દેવામાં આવે છે ડ્રાઈવરો પાસે ડીઝલ, સીલક કે જમવા માટે પણ પૈસા નથી ટ્રક પડતર હોવા છતાં પડતર ભાડું પણ આપવામાં આવતું નથી. > અભેશ ઓડેદરા,ટ્રકચાલક

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

દર્દીઓને મુશ્કેલી:સરકારી હોસ્પિટલમાં લોહીમાં ઓક્સિજન માપવાનુ એબીજી રિપોર્ટનું મશીન બંધ

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવાનું એ.બી.જી.ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી તેમજ આઈ.સી.યુ.વિભાગમાં ઉપલબ્ધ આ ટેસ્ટના મશીનમાં ટેસ્ટ ન થતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોકટરની વિવિધ વિભાગમાં નિમણૂક થતાની સાથે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોસ્પિટલમાં હાલ ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ લેબોરેટરીમાં ગંભીર પ્રકારના દર્દીઓ માટે લોહીમાં ઓક્સિજન માપવા ઉપયોગી એવા એબીજી રિપોર્ટ છેલ્લા 10 દિવસથી થતા નથી. ભાવસિંહજી હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગ તેમજ અન્ય વિભાગમાં વેન્ટીલેટર તેમજ બાયપેપ મશીનમાં રહેલ ગંભીર પ્રકારના દર્દીઓના આ ટેસ્ટ કરવામાં આવે છે.ત્યારે હોસ્પિટલમાં આ ટેસ્ટ બંધ હોવાથી દર્દીઓને ફરજીયાત બહારની લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવાની ફરજ પડે છે. ખાનગીમા એક ટેસ્ટના રૂ.800 થી 1000 ખર્ચે થાય છેપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલની લેબોરેટરી તેમજ આઇ.સી.યુ.તેમજ લેબોરેટરી વિભાગમાં લોહીમાં.ઓક્સિજન માપવાનો એબીજી ટેસ્ટ ન બંધ છે જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે.ખાનગી લેબમાં એક ટેસ્ટ રૂ.800 થી 1000 ખર્ચે થાય છે. ખાનગી લેબોરેટરીના એમ.ઓ.યુ.કરાયા છે હોસ્પિટલમાં 2 જગ્યા પર મશીન ઉપલબ્ધ છે.પરંતુ આ ટેસ્ટ માટેની કીટ મોંઘી અને નિયર એકસપાયરી આવતી હોવાથી કીટ ઓછી મગાવીએ છીએ.એટલે કીટ ખલાસ થઈ જવાથી ટેસ્ટ બંધ હતા પરંતુ કોઈ કારણોસર હોસ્પિટલમાં કોઈપણ ટેસ્ટ ન થાય તો ખાનગી લેબોરેટરીમાં પણ એમ.ઓ.યુ.કરાયેલ છે. > ડો.ગૌરવ ભંભાણી, એમ.એસ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રોજગાર માટે થતી હિજરતને પરિણામે છેલ્લા 10 વર્ષમાં જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ

પોરબંદર જિલ્લામાં ઉદ્યોગો મૃતપ્રાય થઈ રહ્યા છે અને ઉદ્યોગ ન હોવાને કારણે લોકો હિજરત કરે છે. રોજગાર માટે અન્ય જિલ્લામાં હિજરત થતી હોવાને કારણે છેલ્લા 10 વર્ષમાં પોરબંદરની કુલ 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાને બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં સરેરાશ દર વર્ષે 5 સરકારી શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા ધબડક થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 35 વર્ષમાં એકપણ મોટા ઉદ્યોગ આવ્યા નથી. ભૂતકાળમાં જે મોટા ઉદ્યોગ હતા તે બંધ થયા હતા અને હાલ જે ઉદ્યોગ છે તે પણ મૃતપ્રાય અવસ્થામાં છે. જિલ્લામાં ખેતી અને પશુપાલન તેમજ માછીમાર ઉદ્યોગ આવેલ છે તેમાં પણ વાતાવરણની અસરના કારણે માછીમાર ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી જ્યારે ચોમાસા દરમ્યાન માવઠાને કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી. શહેરમાં હાલ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે ત્યારે મજૂરો પણ બેરોજગાર થયા છે. મંદીના કારણે અને રોજગારી મળતી ન હોવાથી નાનો અને મધ્યમ વર્ગ હિજરત કરી રહ્યો છે, જેની અસર 10 વર્ષમાં જોવા મળી છે. રોજગાર માટે થતી હિજરતના પરિણામે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓને બંધ કરવામાં આવે છે ત્યારે વર્ષ 2016થી દર વર્ષે સરેરાશ 5 શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા બંધ થઈ છે. હિજરતથી પોરબંદર જિલ્લો પાયમાલ થઈ રહ્યો છે. જિલ્લાની કઈ સરકારી શાળા બંધ થઈ ? વર્ષ 2016 થી પોરબંદર જિલ્લાની પ્રાથમિક સરકારી શાળા બંધ થઈ છે જેમાં ટુકડા મિયાણી સીમ શાળા, વિસાવાડા સીમ શાળા, દેગામ સીમ શાળા 1, સાતવીરડાનેસ પ્રાથમિક શાળા, બોરીયા વાળો નેસ પ્રા. શાળા, આજમાપટ નેસ પ્રા. શાળા, પથકડા સીમ પ્રા. શાળા, મહિરા સીમ શાળા, કુણવદર સીમ શાળા 1, કંડોરણા સીમ શાળા નંબર 3, કુણવદર સીમ શાળા 2, ચામુંડા સીમ શાળા, રાજમહેલ પ્રાથમિક શાળા, તાલીપટ્ટી સીમ પ્રા. શાળા મોકર, ધ્રુવાળા સીમ પ્રા. શાળા, કરાર સીમ શાળા, સીશોર સીમ શાળા, નંદેશ્વર પ્રાથમિક શાળા, ભોમિયાવદર સીમ શાળા 3, ભેટકડી સીમ શાળા, અડવાણા સીમ નંબર 2, રાણા રોજીવાડા સીમ શાળા 1, સિસલી સીમ શાળા, નીલકંઠ સીમ શાળા અને સોઢાણા સીમ શાળા બંધ થઈ છે. હિજરત માટે કયા પરિબળ ભાગ ભજવે છે ?સરકારી અને ખાનગી શાળાઓ બંધ થતી જાય તેની પાછળ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળા બંધ કરવામાં આવી છે. સરકારી તેમજ ખાનગી શાળા પણ બંધ થવાનું કારણ હિજરત પણ હોય છે. પોરબંદર જિલ્લામાં સાડા ત્રણ દાયકાથી એકપણ ઉદ્યોગ આવ્યો નથી. રોજગારી મળતી ન હોવાથી પરિવારો અન્ય જિલ્લામાં હિજરત કરે છે, આ ઉપરાંત કુટુંબ નિયોજનના ફેલાવાની જાહેરાતની લાંબાગાળાની અસર પણ જોવા મળે છે. હવે લોકો એક જ સંતાન પ્રાપ્ત કરે છે જેથી બાળકોની સંખ્યા પણ ઓછી થતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટે છે. >ડો. ભુપેન્દ્રસિંહ જાડેજા, પ્રોફેસર, એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

તજજ્ઞોએ વિદ્યાર્થીઓને સુચનો કર્યો‎:છાત્રોએ રિવિઝન માટે ટાઇમટેબલ બનાવવું, 7 કલાક ઉંઘ લેવી જરૂરી '

કુલદિપ માઢક આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હાલ અંતિમ તબક્કાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. દિવસ- રાત વાંચન કરી વધુમાં વધુ ગુણ કઇ રીતે મેળવવા તે માટે છાત્રો રાત-દિવસ એક કર્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ શરૂ થયુ ત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. હાલ તમામ શાળાઓમાં કોર્ષ પૂર્ણ થઇ જતા રીવીઝન પેપર પણ શરૂ થયા છે. સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા પણ ચાલી રહી છે. હવે માત્ર બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી છે જે દરમિયાન વિદ્યાર્થીઓએ કઇ રીતે પરીક્ષાની તૈયારી કરીને વધુમાં વધુ ગુણ મેળવી શકે તે બાબતે ભાસ્કરે કેળવણીકારો સાથે વાત કરી હતી જેમાં તેઓએ કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિદ્યાર્થી માટે શેર કરી હતી. ઘરનો જ ખોરાક લેવો જોઇએ મોબાઇલથી દૂર રહેવુ જરૂરીહવે જ્યારે બોર્ડની પરીક્ષાને 18 દિવસ જ બાકી રહ્યા છે. તેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓએ હવે માઇક્રોટાઇમીંગ સાથે વિષય મુજબ ટાઇમટેબલ બનાવી રીવીઝન કરવુ જોઇએ. અંતિમ પેપર હોય તે વિષયનુ શરૂઆતમાં અને પ્રથમ પેપરનુ અંતિમ રીવીઝન ગોઠવવાથી શ્રેષ્ઠ પ્રદર્શન મળે. વાલીઓએ ઘરનુ વાતાવરણ સકારાત્મક જ રાખવુ નકારાત્મક વૃત્તિ અટકાવવી જોઇએ. બાળકને સાત્વીક અને ઘરનો ખોરાક જ ખાવા દેવો બહારના ખોરાકથી દૂર રાખવા જોઇએ. હવે વિદ્યાર્થિઓએ મોબાઇલથી થોડુ દૂર રહેવુ ફાયદાકારક રહેશે. > એલ.વી.જોશી, શિક્ષક જે આવડતુ હોય તેનુ વધુમાં વધુ રીવીઝન કરવાનું રાખોહવે બોર્ડની પરીક્ષાને આડે જૂજ દિવસો જ રહ્યા છે એટલે હવે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે નથી આવડ્યું તેની તૈયારી છોડી જે આવડે છે તેને સારામાં સારી રીતે તૈયાર કરવુ જોઇએ. હાલ પ્રશ્નોના જવાબ મુદ્દા સાથે સચોટ કઇ રીતે લખવા તે તરફ ધ્યાન આપવુ જોઇએ. આત્મવિશ્વાસ સાથે વાંચન કરવુ હિતાવહ રહેશે. ખાસ કરીને વાંચન સાથે શરીરની પણ કાળજી લેવી જોઇએ જેમાં બહારનુ જંકફુડ છોડી ઘરનો જ આહાર સેવન કરવો અને દિવસ દરમિયાન 6 થી 8 કલાકની પુરતી ઉંઘ લેવી જોઇએ. સવાર,બપોર અને સાંજ ત્રણ-ત્રણ મિનિટ ઉંડા શ્વાસ તથા બોડીંનુ સ્ટ્રેચિંગ કરવુ જેથી ઓક્સિજનની માત્ર જળવાય રહે. > ડો. માતંગ પુરોહીત, આચાર્ય ઘરનું વાતાવરણ સકારાત્મક રહે તો છાત્રનો ડર દૂર થાય હવે બોર્ડની પરીક્ષાને થોડા દિવસો બાકી હોવાથી વિદ્યાર્થીઓએ ગભરાવવાનુ છોડી વિષય મુજબ મુખ્ય મુદ્દાઓને તારવીને રિવીઝન શરૂ કરવુ જોઇએ. ખાસ કરીને ટાઇમનુ મેનેજમેન્ટ રાખવુ હિતાવહ રહેશે. શરીર સ્વચ્છ રાખવા માટે 6 થી 8 કલાકની એકધારી પુરતી ઉંધ લેવી જોઇએ. ખાસ કરીને વાલીઓએ હવે ઘરમાં વિદ્યાર્થીઓ પ્રત્યે નકારાત્મ વાતો છોડી પરીક્ષા સુધી સકારાત્મક વાતાવરણ જ રાખવુ જોઇએ અને બહારનો ખોરક ન આપી ઘરનુ ભોજન, ફ્રુટ, લીલા શાકભાજી ખવડાવવુ જોઇએ. વિદ્યાર્થીઓએ રોજ ખોટા ઉજાગરા છોડી ચિંતા વગર ટાઇમ ટેબલ ગોઠવી પરીક્ષાની તૈયારી કરવી ફાયદાકારક રહેશે. > ભરત મેસિયા, પ્રાધ્યાપક સમય, સ્પીડ નક્કી કરવા પેપર સોલ્વ કરવા હિતાવહહવે બોર્ડની પરીક્ષાને માત્ર 18 દિવસનો સમય જ બાકી હોવાથી હવે વિદ્યાર્થીઓએ જે ન સમજાતુ હોય તે વિષયના શિક્ષકો પાસેથી જાણકારી મેળવી રીવીઝન કરવુ જોઇએ. ઉપરાંત અનેક પ્રકાશનો દ્વારા જે બોર્ડના પેપરો જાહેર કર્યા હોય તે બોર્ડની સ્ટાઇલ મુજબ વિદ્યાર્થીઓએ લખવા જોઇએ જેથી સમય- સ્પીડ નક્કી થઇ શકે. વહેલી સવારે વાંચન સમય બોર્ડના વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા નજીક હોવાથી આ દિવસોમાં વિદ્યાર્થીઓએ બહારનો ખોરાક ઓછો ખાઇ ઘરે જ સાદુ અને સાત્વિક ભોજન લેવુ જોઇએ અને વિદ્યાર્થિઓએ રોજની 7 થી 8 કલાકની પુરતી ઉંધ લેવી હિતાવહ રહેનાર છે.> જી.પી. કાઠી, શાળા સંચાલક

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મેળાના રૂટનુ ચેકીંગનુ નાટક:મેળાના રૂટ સહિતની તૈયારી પુરી થયા પછી મંત્રીઓ નિરીક્ષણ કર્યુ હોવાના ફોટા પડાવવા માટે નિકળ્યા

આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાનાર છે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા ઘણા દિવસો પૂર્વેથી કરવામાં આવી છે અને હવે તૈયારીઓનો અંતિમ ઓપ આપવાનુ શરૂ છે. ત્યારે શનિવારે સાંજે પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ મેળાના રૂટનુ ચેકીંગનુ નર્યુ નાટક કર્યુ હતુ. ઉલેખનીય બાબત એ છે કે, જો બંને મંત્રીએ ખરી રીતે મીનીકુંભ શિવરાત્રિના મેળાના રૂટનુ ચેકીંગ કરવુ જ હતુ તો તેઓએ અઠવાડીયા પહેલા આવીને તૈયારીઓ નિહાળવી જોઇએ. તેમજ તંત્રને યોગ્ય સુચનો આપવા જોઇએ પરંતુ હાલ તો તંત્રએ પોણાભાગની તૈયારી કરી નાખી છે અને મેળાને આખરી ઓપ આપી દિધો ને પ્રભારીઓને રૂટ નિરીક્ષણ કરી, ફોટા પાડીને દેખાડો કરવાનુ નાટક સુજ્યુ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:ભણાવવાની શરતે મહિલાએ લગ્ન કર્યા, બાદમાં સાસરીયાએ ના પાડતા પરિણીતા રિસામણે ગઇ

અઢી વર્ષ પહેલા ભણાવવાની શરતે બહેને લગ્ન કર્યા બાદમાં સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા નારી અદાલતના શરણે પહોંચી છુટાછેટા, ઘરેણા-કરીયાવર સહિતનુ સ્ત્રીધન પાછુ મેળવવા માટેની માંગ કરી. નારી અદાલતે સ્ત્રીધન પાછુ અપાવ્યુ. નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, એક બહેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયેલા હતા ભણતર અધૂરૂ હતુ જેથી સામાવાળાને ભણવાની શરતે લગ્નગ્રંથિએ જોડાયા હતા. પરંતુ લગ્નબાદ સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા બહેન પિયરમાં જતા રહ્યા હતા. બહેનનુ વડીલો દ્વારા સમાધાન પણ કરાવવામાં આવ્યુ હતુ અને સાસરીયાપક્ષના લોકો બહેનને તેડી પણ ગયા હતા. પરંતુ છેલ્લા 6 મહિનાથી ફરી પરિણીતા પીયરમાં આવી ગયા હતા અને આ બાબતે નારી અદાલતમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યુ કે, મે ભણાવવાની શરત લગ્ન માટે હા પાડી હતી. પરંતુ લગ્ન બાદ સાસરીયાવાળાએ મને ભણાવવાની ના પાડી દિધી છે. જેને કારણે હુ રિસામણી જતી રહી હતી હવે મારે છુટાછેડા અને સ્ત્રીધન પાછુ જોઇએ છે. નારી અદાલતમાં છૂટાછેડા થતા ન હોવાથી સામાવાળાને નારી અદાલતે બોલાવી. નારી અદાલતની ટીમ દ્વારા બંને પક્ષને સમજાવ્યુ પરંતુ બંને છુટાછેડા જ કરવા માંગતા હોવાથી નારી અદાલતે ઘરેણા, કરીયાવર સહિતનુ સ્ત્રીધન મહિલાને પાછુ અપાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ફરિયાદ:PGVCLના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા હોટેલ માલિક સરપંચે હુમલો કર્યો

પીજીવીસીએલના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા માલણકા પાસે આવેલ રુદ્ર હોટલના માલિક સરપંચ તેમજ તેના પિતા, ભાઈએ 2 ઈજનેર પર હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર માંગરોળ પીજીવીસીએલ ડિવિઝનના જુનિયર ઈજનેર સેજાભાઈ બાલાભાઈ કરમટા, પરબતભાઈ હમીરભાઇ સિંધલ શુક્રવારે સવારે 8 વાગ્યે મેંદરડા શાસન રોડ પર માલણકા ગામ પાસે આવેલ રુદ્ર હોટલે વીજ ચેકિંગ માટે ગયા હતા. જેમાં હોટલની પાછળ આવેલ ખેતીવાડીના ટીસીમાંથી ડાયરેક્ટર નાખી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું જેથી સેજાભાઈએ સ્થળ પર હાજર પ્રતિનિધિને પૂછતા તેને કોઈ જવાબ આપેલ નહીં અને થોડીવાર બાદ રુદ્ર હોટલના માલિક માલણકાના સરપંચ મંગળુભાઈ જેબલીયાએ આવી બંને ઇજનેરને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાજર પ્રતિનિધિ મંગળુભાઈના ભાઈ ભરતે તેજાભાઈના હાથમાંથી મોબાઇલ ફોન લઈ તોડી નાખ્યો હતો. આ દરમિયાન ભરત તથા તેના પિતા શાર્દુલભાઈએ હોટલમાંથી લાકડ્યો લઈ આવી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. વધુ મારથી બચવા માટે ગાડી મોબાઈલ ત્યાં જ મૂકી બંને ઇજનેર, ડ્રાઇવર જતા હતા તે દરમિયાન મંગળભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે જુનિયર ઈજનેર સેજાભાઈ કરમટાની ફરિયાદ આધારે રુદ્ર હોટલના માલિક સરપંચ મંગળભાઈ, તેના પિતા, ભાઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ તેમજ ફરજ રૂકાવટ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વિવાદ:જેલમાં લુડો રમવા મુદ્દે કેદીએ કેદીને મારપીટ કરી, 1ને ઇજા

જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં કેદીઓ વચ્ચે લુડો રમવાના મુદે મારામારીનો બનાવ બન્યો હતો. 6 મહિનાથી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 30 વર્ષીય ઘેલાભાઈ દિલીપભાઈ સોલંકી અને અન્ય એક કેદી શુક્રવારે બપોરે બેરેકબંધીના સમયે બેરેકમાં લુડો રમી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેદી સુરેશ ભીખાભાઈ સોલંકીએ રમતમાં વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. ઘેલાભાઈએ તેને શાંતિથી રમત જોવા અને વચ્ચે ન બોલવા માટે કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેનું માથું દીવાલ સાથે ભટકાવ્યું હતું. આ ઝઘડામાં ઘેલાભાઈને શરીરના ભાગે અને ડાબી આંખ પાસે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના સિપાઇઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત કેદીને જેલ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કેદી સુરેશ સોલંકીવિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મેન્ટેનન્સની કામગીરીને લઇ નિર્ણય:આરટીઓ કચેરીએ 17મી સુધી ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ

જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઇ તારીખ 17 ફેબ્રુઆરી સુધી ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ રહેનાર છે. કામગીરી પૂર્ણ થતા ટ્રેક ફરી શરૂ કરાશે. આરટીઓ અધિકારીએ જણાવ્યુ કે, જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે રોજના 50થી વધુ અરજદારો ફોરવ્હીલર, ટુ-વ્હીલરના ડ્રાઇવીંગ ટેસ્ટ માટે આવતા હોય છે. રોજના મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો રહેતો હોવાથી આ ટ્રેકનુ સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય છે તેમજ કચેરી ખાતે પણ મેન્ટેનન્સનુ કામ થતુ હોય છે. જેને કારણે તારીખ 8 થી 17 ફેબ્રુઆરી સુધી આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કામગીરીનું નિરાકરણ થતા જ રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે એમ જણાવેલ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કૌભાંડ:જુથળ સેવા સહકારી મંડળીમાં મંત્રીએ રૂ. 2.9 કરોડની ઉચાપત કરી, નાણાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં નાંખી લીધા

માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડ રૂપિયાનું ઉચાપત કૌભાંડ મંડળીના પૂર્વ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. સને 2022થી જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ શુક્રવારે સાંજે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેની મંડળી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે સંયોજીત છે. કેશોદ તાલુકાના કણેરી ગામના કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજિયા તા. 09-05-2009થી મંડળીમાં મંત્રી તરીકે ફરજ પર હતા અને તા. 14-04-2024 રહેલ. ત્યાર બાદ જતા રહ્યા હતા. તેનો સંપર્ક થયો ન હતો. મંત્રી તરીકેના સમય દરમિયાન કાંતિભાઈએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખોટા પત્રકો, રસીદો બનાવી અને યોગ્ય હિસાબો રાખ્યા ન હતા. પોતાના લાભ માટે ખોટા ધિરાણ મંજૂર કરાવી, મંડળીના ચોપડા, જામીનગીરી સાથે ચેડા કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત તેમણે સભાસદો પાસેથી લોન વસૂલાતની રકમ, ખાતરના વેચાણના નાણાં, થાપણો અને બેંક ખાતામાંથી ઉપાડેલી રકમ મંડળીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી કુલ રૂપિયા 2,09,49,609ની ઉચાપત કરી હોવાની ફરિયાદ શુક્રવારે મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કનેરિયાએ કરતા માળીયા પોલીસે મંડળીના ભૂતપૂર્વક મંત્રી કાંતિભાઈ હિંગરાજિયા સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી પીઆઇ એમ એન કાતરીયાએ તપાસ હાથ ધરી હતી. આ પ્રમાણે ગોલમાલ કરી’તી 1) રોકડ ઘટ ઉચાપત રૂા. 59,42,989 2) સ્ટોક (ખાતર) ઘટ ઉચાપત રૂા. 26,78,991 3) ​ધિરાણ ઉચાપત રૂા. 70,67,100 4) થાપણ ઉચાપત રૂા. 30,44,000 5) બેંક ખાતા ઉચાપત રૂા. 13,26,430 6) અંગત લોન ઉચાપત રૂા. 8,90,099 વકીલની નોટિસ બાદ મંડળીનો એફડી ધારકોને નાણા પરત કરવા બાંહેધરી પત્ર જૂથળ સેવા સહકારી મંડળી ખાતે એફડીની 21 રસીદો લઈ 16 સભાસદો તેમના નાણા પરત મેળવવા આવ્યાં ત્યારે ડામાડોળ મંડળીનો હવાલો સંભાળનાર પ્રમુખ અને મંત્રીએ તા. 15 જુલાઈ 2024ના રોજ સભાસદોને મંડળીની આર્થિક સ્થિતી ડામાડોળ હોય સક્ષમ થતાં પેમેન્ટ કરાશે તેવું વચન આપ્યું હતું અને મંડળીમાં રહી ગેરવહીવટ કરનાર જવાબદાર વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે તેવી બાંહેધરી આપી હતી. આ બે મુદ્દા પૈકી ફરિયાદ થતા જ મંડળીએ એક બાંહેધરી પાળી હોય સભાસદો હાશકારો અનુભવતા જોવા મળ્યાં હતાં. અત્યારે મંડળીના ભૂતપૂર્વ મંત્રીનો કોઈ સંપર્ક નહી પ્રમુખની ફરિયાદ અનુસાર કાંતિભાઈ નરસીભાઈ હિંગરાજિયા સને 2009 થી મંડળીમાં મંત્રી તરીકેની ફરજ પર હતા અને 14 એપ્રિલ 2024 રહ્યા બાદ જતા રહ્યા હતા સંપર્ક ન થતા 17 મે 2024 થી કમિટીની બેઠકમાં નિતેશભાઇ ઉર્ફે નીતિન ખીમજીભાઇ વાછાણીની મંત્રી તરીકે નિમણૂક કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વાતાવરણ:ગરમીમાં એકાએક વધારો, તાપમાન 33 ડિગ્રીએ પહોંચ્યું

શનિવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં એકાએક વધારો થતા મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બુધવારથી જૂનાગઢના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. સવારે ગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરે આકરા તાપથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શનિવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 15.2 અને ગિરનાર પર્વત પર 10.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહેતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. જેના પરિણામે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ બપોર થતાની સાથે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 33 ડિગ્રીએ સ્થિર થતા આકરી ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. શિયાળાના અંતિમ દિવસોમાં તાપમાનનો પારો 33 ડિગ્રી રહેવાની સાથે બપોરે હવામાં ભેજ 29 ટકા રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ધરપકડ:જામનગરમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીના ગુનામાં 1 શખસ ઝડપાયો

જામનગર શહેરમાં શ્રમિક પરિવાર ઘરને તાળા મારીને લગ્નમાં ગયોને ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદના ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઉકેલી નાંખીને એક શખસની ધરપકડ કરી છે અને એક લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરના વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગર માં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા (ઉ.વ.42) નામના શ્રમિક યુવાન ગત તા.5ના રોજના રોજ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગયા હતા. સવારના 10 મકાનને તાળા મારીને નિકળ્યાને બપોરે 4 વાગ્યા સુધીમાં તસ્કરો તાળા તોડી અંદર ઘુસીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબીના કિશોરભાઈ પરમાર, ભરત ડાંગર અને અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમી મળી હતી કે, ચોરીમાં શની જેસીંગભાઈ કોળી બાવરી (રે.દિગ્જામ ર્સકલપાસે બાવરીવાસ) નામનો શખસ સંડોવાયેલો છે અને તે હાલ ચોરીના મુદામાલ પાસે શહેરના બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે ઉભો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડીને શનીને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી ચોરાઉ સોનાના રૂ.92 હજારના દાગીના તેમજ રૂ.8,500ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1,00,500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ધરપકડ:ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે દારૂની ભરેલી કાર સાથે બે શખસોને દબોચ્યા

ધ્રોલના હજામચોરા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની 519 બોટલ ભરેલી કાર સાથે બે શખસોને રૂ. 6.37 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે. જેમાં સામખીયાળીના સપ્લાયરનું નામ ખુલ્યું છે. મળતી વિગત મુજબ આમરણ-ધ્રોલ નેશનલ હાઈવે તરફથી એક કારમાં અમુક શખસો ઈગ્લિંશ દારૂનો જથ્થો લઈને હજામચોરા તરફ આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ એચ.વી.રાઠોડએ સ્ટાફના જયેશભાઈ દલસાણીયા, જતીનભાઈ ગોગરા, સંજયભાઈ મકવાણા, ભગીરથસિ઼હ જાડેજાએ વોચ ગોઠવી હતી. ખાનગી આડશ ઉભી કરી દારૂની ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે કાર રીવર્સ લઈ યુટર્ન મારી પાછો હાઈવે તરફ નાશ્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. તેમાંથી અબ્દુલ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી અને અરમાન ઈકબાલભાઈ જુણેજાને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી 519 બોટલો રૂ.3,07,725ની કિંમતની તેમજ રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.6,37,725નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો સામખીયાળીના જુસબ તરયાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

દરોડો:પંજાબથી મોટી ખાવડી સુધીના હેરોઈનના નેટવર્કનો પર્દાફાશ, 4ની ધરપકડ: 1 પોલીસ કસ્ટડીમાંથી ફરાર

પંજાબના અમૃતસરથી જામનગરના મોટી ખાવડીમાં મજુર વસાહતમાં હેરોઈન (ડ્રગ્સ) વેંચાણના નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને ચાર પંજાબીઓને હોટલમાંથી ઝડપીને રૂ.83.60 લાખની કિંમતનું 418 ગ્રામ હેરોઈન જપ્ત કર્યો છે. જેમાં અમૃતસરના સપ્લાયરનું પણ નામ ખુલ્યું છે. અમૃતસરથી મોટી ખાવડી સુધીના અંદાજે 1307 કીલોમીટરનું અંતર કાપ્યું છતાં એક પણ ચેકપોસ્ટ ખાતે ન પકડાતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સાંજના સમયે એક શખસ પોલીસ સ્ટેશનમાંથી નાશી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મોટી ખાવડીમાં આવેલી હોટલ 666ના રૂમનં-202માં રહેતા શખસો ડ્રગ્સ લાવીને વેંચાણ કરતા હોવાની એસઓજીના હર્ષદભાઈ ડોરીયા, મયુરરાજસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, બળભદ્રસિંહ, ધર્મન્દ્રભાઈને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ બી.એન.ચૌધરી તેમજ પીએસઆઈ એ.વી.ખેર સહિતના સ્ટાફે હોટલમાં દરોડો પાડ્યો હતો. રૂમની તલાસી લેતાં તેમાંથી રૂ.83.60 લાખની કિંમતનો 418 ગ્રામ હેરોઈન (ડ્રગ્સ) મળી આવતા વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજીતસિંહ અમરજીતસિંઘ મજવી અને જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરાને ઝડપી લીધા હતા. તેના પાસેથી રૂ.35 હજારની કિંમતના 7 મોબાઈલ તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો રૂ.500ની કિંમતનો તેમજ રોકડ રૂ.18,500 મળીને કુલ રૂ.84,14,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેની પુછપરછ કરતા વિશાલસિંઘએ કબુલાત કરી હતી કે, તે સાગરીતો હરપ્રિતસિંઘ, બિક્રમજીતસિં, અને જગદિપસિંઘ છેલ્લા બે-ત્રણ મહીનાથી અમૃતસર ખાતેથી ફિલી5સ ઉર્ફે ફૌજી પાસેથી હેરોઈન પાવડર લઈને જામનગરમાં વેંચાણ કરીએ છીએ. તે થોડા સમય પહેલા પંજાબ ગયા ત્યારે આરોપી હરપ્રિતસિંઘએ ફોન કર્યો હતો અને ફિલિ5સ પાસેથી હેરોઈન પાવડર લેતો આવજે, જેથી તે તેને 500 ગ્રામ હેરોઈન લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પીઆઈ પી.ટી.જયસ્વાલએ પંજાબ સુધી તપાસ લંબાવી છે. મેઘપર પોલીસે ચારેય શખસો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કેસના કાગળો સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પકડાયાના કલાકોમાં જ અરોપી વિશાલસિંઘ જરાવિરસિંઘ મટુ નામનો શખસ મેઘપર પોલીસ સ્ટેશનમાં પોલીસને ચકમો આપીને નાશી છુટતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તેનો પીછો કરવા છતાં તે હાથમાં ન આવતા અને અંધારામાં ઓગળી ગયો હતો. પોલીસ કંટ્રોલરૂમને જાણ કરીને શહેર-જિલ્લામાં પોલીસે નાકાબંધી કરાવી હતી. જેમાં નાશી છુટેલા શખસનો ફોટો પણ પોલીસમાં વાયરલ કર્યો હતો. આ બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તે મળી આવ્યો ન હતો. પંજાબી શખસો અંદાજે 1307 કીલોમીટરનું અંતર ટ્રેન તેમજ સરકારી બસો અને ખાનગી જામનગરમાં યુ.પી., બિહાર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી પરપ્રાંતિયો કામ અર્થે આવે છે અને નશાકારક પદાર્થો જામનગરની ખાનગી કંપનીની મજુર વસાહતોમાં ઘુસાડવામાં આવે છે અને શ્રમિકોમાં વેચાણ કરે છે. દેશભરમાંથી આવતા પરપ્રાંતિયોના કારણે ડ્રગ્સનું પ્રમાણ જામનગરમાં વધી રહ્યું છે. ગાંજા, મેફેડ્રોન ડ્રગ્સ, હેરોઈન પાવડર સહિતના જુદા જુદા નશાકારક પદાર્થો મળી રહ્યા છે. પોલીસ એનડીપીએસ એક્ટ મુજબ ગુનાઓ નોંધે છે. મેઘપર પડાણામાંથી તેમજ શહેરની અને જામનગર ખંભાળિયા હાઈવે પરની અમુક દુકાનોમાંથી ગત વર્ષે નશાકારક ચોકલેટોનો જથ્થો ત્રણ થી ચાર દૂકાનોમાંથી એસઓજીએ પકડી પાડ્યો હતો. તે નશાકારક ચોકલેટો ઉત્તરપ્રદેશના શખસો ચોકલેટોનું દુકાનોમાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. ગત વર્ષે એનડીપીએસ એકટ મુજબ 8 ગુનાઓ નોંધાયા હતા. ત્યારે વર્ષ 2026ની શરૂઆતમાં જ લાખોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડીને પંજાબના ચાર શખસોને પકડીને એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હેરોઈન પાવડરનો મળેલો જથ્થો પણ પંજાબના અમૃતસરથી વેચાણ માટે લાવ્યો હોવાની કબુલાત કરી છે. વાહનો મારફત જામનગર પહોંચ્યો હતો. જ્યારે આટલું અંતર કાપવા છતાં ચેકીંગના બળીંગા ફુંકતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. આરોપીઓ ચરસી હોવાથી હોટલમાં 18 ગ્રામ હેરોઈન પી ગયાની કબૂલાત ખાનગી કંપનીમાં મજુરી કામ કરતા ચારેય શખસો ચરસી હોય, અને હેરોઈન પીવાના પણ બંધાણી હોવાની કબૂલાત કરી હતી. તેઓ પંજાબથી હેરોઈન પાવડર લાવ્યા બાદ 82 ગ્રામ જેટલો પી ગયા હતા. જે અંગેની પોલીસની પુછપરછમાં કબુલાત કરી હોવાની એસઓજી પીઆઈ બી.એન.ચૌધરીએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કાર્યવાહી:દિગ્જામ ઓવરબ્રીજ પાસે ડિમોલિશન 29.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

જામનગર શહેરની ભાગોળે દિગ્જામ ઓવરબ્રીજ નીચેના વિસ્તારમાં શુક્રવારે રેલ્વેની જમીનમાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ જેમાં તંત્ર દ્વારા કાચા-પાકા બાંધકામો, ઝુંપડાઓ વગેરે મળી નાના મોટા 194 દબાણો દૂર કરી રૂા. 29.52 કરોડની કિંમતની 18,450 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાવાઇ હતી.તંત્ર દ્વારા રાત્રી સુધીમાં દબાણ હટાવ ઓપરેશન પૂર્ણ કરી દેવાયુ હતુ. શહેરના વુલનમીલ રોડ પર દિગ્જામ ઓવરબ્રિજ નીચે પસાર થતી રેલ્વે લાઇનની આજુબાજુમાં છેલ્લા કેટલાક વર્ષોથી નાના મોટા કાચા-પાકા સહિતના દબાણો ઉભા થયા હતા.જેને દૂર કરવા માટે રેલ્વે તંત્રે શુક્રવારે સવારથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે લગભગ 300થી વધુ પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત મેગા ડિમોલિશન શરૂ કરાયુ હતુ.રેલ્વે તંત્ર દ્વારા 15 જેસીબી મશીનની મદદ વડે નાના મોટા કાચા-પાકા મળી 194 દબાણોને દૂર કરવા કાર્યવાહી કરી હતી. રેલ્વે તંત્ર દ્વારા આ દબાણ હટાવ ઓપેરેશનમાં રેલ્વે ટ્રેક આજુબાજુ બાવરીવાસ સહિત લગભગ ત્રણેક કિલોમીટર વિસ્તારમાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી જેમાં 15 જેસીબી મશીનની મદદ વડે 75 પાકા અને 119 જેટલા કાચા ઝુંપડાઓ વગેરે મળી 194 દબાણોને રાત્રી સુધીમાં હટાવી દિધા હતા જેમાં લગભગ રૂા. 29.52 કરોડની કિમંતની 18,540 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. ડબલ ટ્રેકના પગલે આ મેગા ડિમોલિશનને પગલે ચુસ્ત બંદોબસ્ત રહયો હતો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત 300 જેટલા પોલીસ અધિકારી-જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.રેલ્વેના સંબંધિત વિભાગના અધિકારીઓ અને આરપીએફ સહિત 70 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા.જે સાથે મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને વિજતંત્રના પાંચ-પાંચ અધિકારી-કર્મીઓ પણ ઓપેરશનમાં સામેલ થયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

આપણી સંસ્કૃતિ આપણી વિરાસત:જામનગરમાં વેલેન્ટાઈન-ડેના બદલે માતૃ-પિતૃ પૂજન દિન ઉજવવા 1100 વિદ્યાર્થીઓના શપથ

આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી રહી છે, ત્યારે તેમને પુનઃ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને મૂલ્યોનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની અને માતૃશકિત દ્વારા ''''આપણી સંસ્કૃતિ આપણી વિરાસત''''ની ઉજવણી અંતર્ગત વેલેન્ટાઈન ડેના બદલે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી અંતર્ગત 1100 વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આપણી સંસ્કૃતિ આપણી વિરાસત સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરની ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ, એન ડી શાહ હાયર સેકન્ડરી વિદ્યાલય, ફાયર કોલેજ, નવાનગર હાઈસ્કૂલ સહિત શાળા કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ કૃપાબેન લાલ વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને તેને જીવનમાં ઉતારવાની અનિવાર્યતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને 7 ફેબ્રુઆરીના રોઝ ડે ના બદલે પ્રકૃતિ વંદના દિવસ, 8ના પ્રપોઝ ડે ના બદલે મંદિર દર્શન દિવસ કે સમૂહ આરતી દિવસ, ચોકલેટ ડે ના બદલે સ્વદેશી દિવસ, ટેડી ડે ના બદલે ગાય માતા પૂજન દિવસ કે ઉંબરા પૂજન દિવસ, પ્રોમિસ ડે ના બદલે નાગરિક કર્તવ્ય દિવસ, હગ ડે ના બદલે સૂર્ય દેવ જળ અર્પણ દિવસ,કિસ ડે ના બદલે તિલક દિવસ, વેલેન્ટાઇન ડે ના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસ ઊજવવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોએ એકસાથે મળીને આપણી અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા તેમજ તેને ગૌરવપૂર્વક અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીના આ પ્રયાસને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વાહનચાલકોને ભારે મુશ્કેલી:જામ્યુકોની બુધ્ધીનું દેવાળું એક રોડ પર 8 સ્પીડબ્રેકરો

જામનગર મહાનગરપાલિકાએ બુધ્ધીનું દેવાળું ફુંક્યું હોય તેમ શહેરના જનતા સોસાયટીથી ખોડિયાર મંદિર તરફ જતા કામદાર કોલોનીના મેઈન રોડ ઉપર એક-બે કે ત્રણ નહીં પરંતુ થોડા અંતરમાં 8 સ્પીડબ્રેકર મુકવામાં આવતા રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલી સાથે માથાના દુ:ખાવા સમાન બની ગયા છે. વાહનચાલકોમાં રોષ્ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકા સામાન્ય રીતે એક સ્પીડબ્રેકર બનાવવા માટે અનેક નિયમો અને પ્રક્રિયાઓ બતાવે છે, ત્યારે એક જ રોડ પર થોડા-થોડા અંતરે 8 સ્પીડબ્રેકરોને મંજૂરી કેવી રીતે અપાઈ તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હવે આ વધારાના સ્પીડબ્રેકરો હટાવવા માટે કોની મંજૂરી લેવી પડશે તે મુદ્દે બુદ્ધિજીવીઓમાં ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું માનવું છે કે આડેધડ અને નજીકમાં બનાવાયેલા સ્પીડબ્રેકરો હવે માથાના દુખાવા સમાન બન્યા છે. તો મોટી ઉંમરના તેમજ બીમાર માણસો માટે તે રોડ ઉપરથી વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:દામનગરમાં ઉચ્ચ શિક્ષિત એકના એક પુત્રએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો

દામનગર શહેરના લેઉવા પટેલ સમાજના સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતા તાગડીયા પરિવારના એકના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગના માર્ગે પ્રયાણ કર્યું છે. ઉચ્ચ શિક્ષત, આકર્ષક આવક મૂકીને BAPS સ્વામી નારાયણ સંસ્થાનનો ત્યાગાશ્રમ સ્વીકારતા આજે સૌરાષ્ટ્રભરમાંથી અનેક BAPS મંદિરના વરિષ્ઠ સંતો તેડવા પધાર્યા હતા. વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી અધ્યાત્મત સ્વરૂપદાસ ગઢડા, કોઠારી સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના ગુરુજી સંત સ્વામી ભક્તિસાગર સ્વરૂપદાસજી સ્વામી, સુરેન્દ્રનગર સ્વામી આનંદ નયન સ્વરૂપદાસજી, સ્વામી આનંદનિલય સ્વરૂપદાસજી, સ્વામી દિનબધું સ્વરૂપદાસજી, સ્વામી બ્રહ્મભૂષણ સ્વરૂપદાસજી વિગેરે હાજર રહ્યા હતા. દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો હરિ ભક્તોએ સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતોના ગુણો સાંભળ્યા હતા. ત્યાગ વૈરાગ્ય સ્વીકારી વીતરાગના માર્ગે ચાલવા 31 જેટલા યુવાનો આગામી માર્ચ માસ સાળંગપુર ધામ ખાતે દીક્ષા મેળવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

માર માર્યો:જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા મુદ્દે યુવકને માર માર્યો

જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા જેવી બાબતે યુવક પર ચાર શખ્સોએ ધોકા, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના સામાકાંઠા ગોલ્ડન સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ.35)એ)મયુર રમેશભાઈ, શંભુ સુરેશભાઈ, રોનક રમેશભાઈ અને હિતેશ ચેતનભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું મયુર પોતાના ઘર પર પાણી છાંટતો હતો. જે પાણી તેના ભાઈ રાજેશભાઈની અગાસી ઉપર આવતું હતું. રાજેશભાઈએ મયુરને પાણી છાંટવાની ના પાડતા ચારેયને સારૂ ન લાગતા તમામે તલવાર, પાઇપ, બેઝબોલનો ધોકો તથા ફાઇબરની લાકડી લઈને નિલેશભાઈ અને રાજેશભાઈને આડેધડ માર માર્યો હતો. તેમજ મારી નાખવાન ધમકી આપી હતી. આ અંગે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

હુમલો કરાયો:ખાંભાના બોરાળા ગામમાં યુવક પર કુહાડી વડે હુમલો

ખાંભાના બોરાળામાં 32 વર્ષિય યુવક પર ચાર શખ્સોએ કુહાડી, પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગીરસોમનાથના ગીરગઢડાના નવા ઉગલા ગામના ભાવેશભાઇ જાદવભાઇ પરમાર (ઉ.વ.32)એ બોરાળાના દાના ગભાભાઇ વાઘેલા, દાના વાઘેલાનો નાનોદિકરા તેમજ મોટો દિકરો અને તેના જમાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીના બપોરના સાડા બારેક વાગ્યે ભાવેશભાઈ પરમારે તેના ભાઇ ભગુભાઇને ટેલીફોનિક પુછપરછ કરી હતી. તે સમયે ભાવેશભાઈ બોરાળા ગામે ધનાભાઇ મધુભાઇ પરમારના ઘરે લગ્નમાં આવ્યા હતા. અહીં ચારેય શખ્સો તેને સાંભળતા ભાવેશભાઈના મોટાભાઇ ભગુભાઇ પરમારને ઉપાડી લેવો છે તેવી વાતો કરતા હતા. ત્યારે ભાવેશભાઈએ ભગુભાઇને એકલા ના સમજતા તેમ કહેતા આ વાતનુ સારૂ ન લાગતા ચારેય શખ્સોએ ભાવેશભાઈ પરમાર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. .

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:જિલ્લામાં 316 શાળાની 19520 છાત્રાઓને 12.28 કરોડ ની સ્કોલરશીપ

સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓ માટે એક મહત્વપૂર્ણ સહાયક યોજના તરીકે ઉભરી આવી છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 25–26 દરમ્યાન અમરેલી જિલ્લામાં આ યોજનાનો વ્યાપક અમલ કરવામાં આવ્યો છે. જિલ્લાની કુલ 19520 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાના લાભરૂપે રૂ. 12.28 કરોડની સહાયતા ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાના અમલથી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે. આ યોજનાના કારણે અનેક દીકરીઓ શાળામાં નિયમિત રીતે ભણવા જોડાઈ છે અને તેમના શૈક્ષણિક વિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે. સરકારની આ પહેલ દીકરીઓના શિક્ષણને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, આ સ્કોલરશીપના લીધે અમરેલી શહેરની જ ટી.પી.એમ.ટી ગર્લ્સ સ્કૂલની બે દીકરીઓ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આગળ અભ્યાસ કરવાની ન હતી પરંતુ નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાનો લાભ મળતા આ બંને દીકરીઓ પોતાનું ધોરણ 12 સુધીનું શિક્ષણ હવે પૂર્ણ કરશે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની 67 શાળાઓની 3599, બાબરા તાલુકાની 24 શાળાઓની 1535, લાઠી તાલુકાની 9 શાળાની 1669, લીલીયા તાલુકાની 32 શાળાની 649, કુંકાવાવ તાલુકાની 24 શાળાની 830, બગસરા તાલુકાની 16 શાળાની 1117, ધારી તાલુકાની 21 શાળાની 1390, ખાંભા તાલુકાની 18 શાળાની 1113, રાજુલા તાલુકાની 39 શાળાની 2841, જાફરાબાદ તાલુકાની 21 શાળાની 1862, સાવરકુંડલા તાલુકાની 45 શાળાની 2915 વિદ્યાર્થિનીઓ મળી જિલ્લાની 316 શાળાઓની ધો. 9-12ની 19520 વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશીપ દ્વારા પોતાના શિક્ષણમાં પૂરક સહાયતા મળી છે. આ યોજનાના લીધે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવવાની માનસિકતા મજબૂત બની છે.નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓને માસિક આધાર પર સહાય આપવામાં આવે છે, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વધુ પ્રોત્સાહક દરે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડાયરેક્ટ ખાતામાં જમા થાય છે રકમ અભ્યાસ પૂર્ણ કરવા પ્રોત્સાહનરૂપે નિર્ધારિત ધોરણ પાસ કર્યા બાદ વધારાની સહાય પણ આપવામાં આવે છે. સમગ્ર સહાય રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વિવાદ:રાજુલાના નીંગાળા ગામે યુવકને લાકડી વડે માર્યો

રાજુલાના નીંગાળામાં યુવક અને તેના પરિવાર પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો. તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ઈકો ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. નીંગાળામાં રહેતા અર્જુનભાઈ ભરતભાઇ બાંભણીયા (ઉ.વ.25)એ ઉમેશ ભીખાભાઇ શિંગડ, સાગર ખીમાભાઇ ગુજરીયા, મીલન વેલાભાઇ ગુજરીયા, પ્રકાશ ભીખાભાઇ શિંગડ અને ભીખા શિંગડ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલાના પ્રેમ સબંધનું મનદુ:ખ રાખી 5 ફેબ્રુઆરીના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા તેના ઘરના ડેલાની સામે શેરીમા પાર્ક કરેલ ઇકો ગાડીમાં ઉમેશ શિંગડે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આ તમામ લોકોએ અર્જુનભાઈ બાંભણીયા સહિત તેના પરિવારને પથ્થર અને લાકડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત ઈકો ગાડીમાં તોડફોડ કરી રૂપિયા 50,000નું નુકશાન કર્યું હતું. આ અંગે પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

લોકાર્પણ:અમરેલીના થોરડીમાં કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકાતા સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોને નવી દિશા મળશે

અમરેલી તાલુકાના થોરડી મુકામે શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.પ્રધુમનભાઈ વાજા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો તથા આગેવાનો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ આશરે રૂ. 10 લાખના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યુ હતું. આ કોમ્યુનિટી હોલના નિર્માણથી ગામના સામાજિક, સાંસ્કૃતિક તથા વિકાસલક્ષી કાર્યક્રમોને નવી દિશા મળશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી ડૉ.વાજા અને વેકરીયાએ ગામના સ્થાનિક આસ્થાના કેન્દ્ર સમાન શિવ મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લાના પંચાયતના સભ્ય મુકેશભાઈ બગડા, શંભુભાઈ મહિડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કામગીરી:કોટડાપીઠામાં સુવિધા પથથી ‎લોકોની હાડમારી દૂર થશે‎

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે લાંબા સમયથી પ્રજાજનોની માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1.30 કરોડના ખર્ચે સુવિધાપથ મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાની રજૂઆત રહી હતી. કોટડાપીઠા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. હવે રાજ્ય સરકારે રૂ. 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સી.સી. રોડને મંજૂરી આપી છે. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે. રસ્તાનું આ કામ મંજૂર થતા હવે કોટડાપીઠામાં કર્ણુકી ગામ તરફ જવાના કાચા રસ્તાની જગ્યાએ નવો આર સી સી રોડ બનશે. આ ગામ તરફ જવાનો રસ્તો હાલમાં કાચો છે તેના જગ્યાએ પાકો રસ્તો બનશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક:હેલમેટ, સીટબેલ્ટ અને સ્પીડ લિમીટનું વાહનચાલકોએ પાલન કરવું: કલેકટર

અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરાઇ હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વાહન ચાલકોની સલામતી જળવાય અને ટ્રાફિકને લગતા નિયમોનું પાલન થાય તે માટે હેલમેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ સહિતના કાયદાઓનું વાહચાલકો અસરકારક પાલન કરે તે માટે જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચના આપી હતી. વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થાય તે માટે જરૂરી કાયદાઓનો અમલ સતત અને નિયમિત રીતે કરવા માટે કલેક્ટરે સૂચનાઓ આપી હતી. જાન્યુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત અમરેલી એ.આર.ટી.ઓ અમરેલી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ, સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાયા હતા. ડ્રાઈવરો માટે આંખ, બ્લડ પ્રેશર, સુગર તપાસ માટે આરોગ્ય વિભાગની મદદથી મેડિકલ કેમ્પ યોજાયો હતો. માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ઉર્જામંત્રી વેકરિયાના હસ્તે કામગીરીનું ખાતમુહૂર્ત:શેડુભારમાં કોઝ-વેની જગ્યાએ પુલ બનાવાતા‎ચોમાસામાં પણ લોકોની અવરજવર શરૂ રહેશે‎

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો આરંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા- ખિજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ વે પર આશરે રૂ. 56.60 લાખના ખર્ચે ખાનાવાળા બોક્ષકલવર્ટની કામગીરી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવશે. શેડુભાર ગામમાં સ્થાનિકોની માંગણી મંજૂર થતા રાજ્યમંત્રીના હસ્તે હયાત કોઝ-વેની જગ્યાએ 6 જગ્યાએ 2 મીટર પહોળાઈ અને 2 મીટરની ઉંચાઈના ખાનાવાળા બોક્ષકલવર્ટ મૂકવામાં આવશે. જેના લીધે ચોમાસામાં પાણી ઓવરટેપીંગ થવાના સંજોગોમાં પણ આવનજાવન શરૂ રહેશે અને ગામમાંથી પસાર થતી નદીમાંથી સરળતાથી રસ્તો પસાર કરી શકાશે. આ પ્રસંગે વેકરિયાએ ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા માર્ગ મકાન વિભાગ રાજ્યના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગામના સરપંચ સહિતના મહિલા અગ્રણીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંત્રીનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ઓર્ગેનિક ખેતી:દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળા યોજાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલીના નેજા હેઠળ દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તાલીમ શાળામાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તાલીમ શાળાનો લાભ મેળવ્યો હતો. તાલીમ શાળા દ્વારા ખેડૂતોને પર્યાવરણમિત્ર અને ખર્ચ બચતવાળી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. દડવા રાંદલ ગામના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિમાં બીજ સંરક્ષણ અને સ્વદેશી બીજનો ઉપયોગ, જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીન પોષણ, આચ્છાદન (મલ્ચિંગ), જીવાત અને રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો, વૈવિધ્યસભર ખેતી અને પ્રાકૃતિક સંતુલન ઉપરાંત રાસાયણિક ખેતી થકી માનવ આરોગ્ય પર ખતરો અને જમીનની ઘટતી જતી ગુણવત્તા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી હતી. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ જનકભાઈ ચાવડા દ્વારા ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને ખેડૂત સમૃદ્ધિ સહિતની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત અને નિરંતર વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ અનેક ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અપનાવી છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે ધાન્ય પાકો, બાગાયતી પાક, કઠોળ સહિત વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમશાળાઓ થકી ખેડૂતોમાં સ્વસ્થ જમીન, ગુણવત્તાસભર પાક ઉત્પાદન અને સ્થિર કૃષિ વ્યવસ્થા અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલી જિલ્લાના 619માંથી 419 ગામો‎સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવી દેવાયા‎

અમરેલી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ગુનાખોરી ડામવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અનોખી પહેલ કરી ગ્રામીણ વિસ્તારના સરપંચો અને દાતાઓને દરેક ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરતા અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના 619 માંથી 419 ગામોમાં સીસી ટીવી કેમેરા લાગી ગયા છે. માર્ચ સુધીમાં તમામ 619 ગામોમાં કેમેરા લાગી જશે અને ત્યારે અમરેલી જીલ્લો રાજ્યમાં એવો પ્રથમ જિલ્લો બનશે જ્યાં તમામ ગામોમાં સીસીટીવી કેમેરા હોય. અમરેલી જિલ્લામાં ગામડાઓમાંથી યુવા યુવા વર્ગ મોટા પ્રમાણમાં માઇગ્રેશન કરી શહેરોમાં વસે છે. ગામડાઓમાં મોટાભાગે વૃદ્ધ લોકો ખેતીવાડીના કામ સંભાળે છે અને બીજી તરફ ખેત મજૂરીમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકો આવીને વસ્યા છે. આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારમાં થતી ગુનાખોરી પોલીસ માટે પણ ચેલેન્જ રૂપ બને છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એક કદમ આગળ વધી અનોખી પહેલ કરી છે. તેમણે દરેક વિસ્તારમાં ગામડાઓમાં ફરી સરપંચો, દાતાઓ અને વિવિધ સંસ્થાઓને તેમના ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવા સમજાવટ કરી હતી. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનાખોરીનો ભેદ ઉકેલવામાં પણ સરળતા રહે. પોલીસ વડાની આ પહેલને દરેક ગામે વધાવી લીધી છે અને પાછલા છ માસના ગાળામાં અમરેલી જિલ્લાના 619 ગામોમાંથી 419 ગામોમાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લાગ્યા છે. ક્યાંક ગ્રામ પંચાયતોએ ખર્ચ કર્યો છે તો ક્યાંક દાતાઓ અને સંસ્થાઓની મદદ લેવાય છે. જિલ્લા પોલીસ વડા કહે છે કે દરેક ગામમાં સીસીટીવી કેમેરા હોય તેવું ચિત્ર હું જોવા માગું છું અને બહુ ટૂંકા સમયમાં અમરેલી જિલ્લાના તમામ ગામોમાં સીસીટીવી કેમેરા લાગી જશે. જેમ જેમ કેમેરા લાગતા જાય છે તેમ તેમ પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં લાગેલા સીસીટીવીના આધારે અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. લોકોએ પોતાના વ્યક્તિગત રીતે લગાવેલા સીસીટીવી કેમેરા ઉપરાંત આ વધારાના કેમેરા લાગી રહ્યા છે. જેનું તમામ સંચાલન જે તે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. જેમ જેમ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લાગતા જાય છે તેમ તેમ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત આવા ગામોના સરપંચ અને દાતાઓનું સન્માન કરી રહ્યા છે તેમને પોલીસ તરફથી સન્માનપત્ર અપાઇ છે. અગાઉ ઇગલ આઈ-1 પ્રોજેક્ટ હેઠળ 200 કી પોઇન્ટ પર 650 સીસીટીવી લાગ્યા હતાવર્ષ 2024માં અમરેલી જિલ્લામાં ઇગલ આઈ-1 પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. જેમાં અમરેલી જિલ્લાની તમામ ચેકપોસ્ટ, મુખ્ય રસ્તાઓ, કી પોઇન્ટ વિગેરે જગ્યાએ મળી 200 જગ્યાએ 650 કેમેરા લગાવાયા હતા. જે તમામનું મોનિટરિંગ પોલીસના નેત્રમ કમાન્ડ સેન્ટરમાંથી કરાઇ છે. જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, દામનગર અને રાજુલાના તમામ 78 ગામમાં સીસીટીવીઅમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના 18 પોલીસ મથક પૈકી જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, રાજુલા અને દામનગર પોલીસ મથક હેઠળ આવતા તમામ 78 ગામમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે. આ કેમેરા લગાવવામાં ખાનગી કંપનીઓ પણ મદદ કરી રહી છે. લોકોની સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવાનો નિર્ણય કર્યોજનતાના જાનમાલ અને સંપત્તિની જાળવણી માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવાનો અને તેમાં જનતાને જોડવાનો નિર્ણય કર્યો હતો. જેને ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનોએ આવકારી કેમેરા લગાવ્યા છે. જેનાથી ઘણા ગુના ઉકેલવામાં મદદ મળી છે. સુરક્ષાની જવાબદારી જનતા પણ ઉપાડી રહી છે તે ખુશીની વાત છે. > સંજય ખરાત, અમરેલીના એસપી

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

બેઠક:છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વાર નવનિયુકત મહામંત્રીનું સ્વાગત

છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી અને મધ્યઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામા જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ,મોરચા પ્રમુખ, મહામંત્રીઓ અને મંડલ પદાધિકારીઓની પરિચય બેઠક યોજાયી હતી. નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવતા જિલ્લા ભાજપાના પદાધિકારીઓએ કેવડીથી બાઈક રેલી દ્રારા છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય સુધી લાવી તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. પરિચય બેઠકને સંબોધન કરતા નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે પદાધિકારીઓને જણાવ્યુ હતુ કે, તમામ પદાધિકારીઓને જવાબદારી મળી છે તેઓએ બુથના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી પોતાનો પરિચય વધારવા અને નાનામા નાનો કાર્યકર્તા નારાજ ન થાય તેવા પ્રયત્ન કરવા પર ભાર મુક્યો હતો.આવનારી ચૂટણીઓમા છોટાઉદેપુર જિલ્લામા ભાજપ આજે જે મજબૂતીથી ઊભુ છે.તે જ મજબુતીથી સહુ કાર્યકર્તાઓ એક સાથે કામ કરે તેવુ આહવાન કર્યુ હતુ. આ પરિચય બેઠકમા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા,મહામંત્રી રમણભાઈ બારીયા,પુષ્કરભાઈ પટેલ સહીત જિલ્લા તાલુકાના નવનિયુક્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ઈન્જેકશનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી, VIDEO:પોલીસની હાજરીમાં બે મિનિટમાં જ અસલી ફોન કાઢી નકલી પેક કરી દીધો, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાંચને દબોચ્યા

ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જેઓ પાસેથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે જેને ઈન્જેકશનમાં ભરીને પાર્સલ ખોલતા હતા. પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે આરોપીઓએ બે મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આઈફોન, એપલ વોચ જેવી કિંમતી વસ્તુ પાર્સલમાંથી કાઢી ડુપ્લીકેટ પેક કરી દેતાઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જે ટોળકીનો પર્દાફાશ કર્યો છે તેઓ એક વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ IDથી ખોટા સરનારા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા હતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકીને વિશાલ નામના આરોપીને આપી દેતા હતા. કઈ રીતે રેકેટનો પર્દાફાશ થયો?નવા નરોડામાં આવેલી કુરિયર પાર્સલની કંપની ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની એક કંપનીના ઓનલાઇન પાર્સલોની ડિલીવરીનું કામ કરે છે. ગત તા.28 જાન્યુઆરીએ 60 પૈકીના એક કર્મચારીએ ઓર્ડર કેન્સલ થયો હોવા અંગે અને તેમાં છેડછાડ થવા બાબતે જાણ કરી હતી. જેથી તે પાર્સલની તપાસ કરતા તેમાંથી ડુપ્લીકેટ ફોન મળી આવ્યો હતો. જેથી રિશભભાઇએ ઓનલાઇન સોફ્ટવેરમાં તપાસ કરતા 1.34 લાખનો આઇફોન 17 પ્રો અને અન્ય 1.22 લાખનો ફોન સરદારનગરના સરનામા પર ડિલીવરી કરવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. જે બાદ વધુ તપાસ કરાતા કંપનીમાં કામ કરતા વિશાલ બાવરી આ વસ્તુઓ ડિલીવરી માટે લઇ ગયો હતો.જેથી વિશાલ બાવરીની પૂછપરછ કરતા તેણે સમગ્ર બાબતે વટાણા વેરી નાખ્યા હતા. પોલીસની હાજરીમાં બે મિનિટમાં જ પાર્સલ ખોલીને બંધ કરી દીધુંઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે આરોપીઓ પાસે ડેમો કરાવ્યો તો આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઈન્જેકશનમાં ભર્યું હતું અને તેની મદદથી બે મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું હતું. જે જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આરોપીઓ પાસેથી 8 અસલી અને 25 નકલી ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયોવિશાલ દ્વારા પરત આવેલા અન્ય પાર્સલોની તપાસ કરાતા આઇફોન સહિત બે ફોન, 1.79 લાખની બે એપલ વોચ પણ છેતરપિંડીથી મેળવી હોવાનું ખુલવા પામ્યુ હતું. જે મામલે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી આરોપી રામલાલ ગેહલોત, મનોજ, માલી, ભરત સુંદેશા, વિશાલ પંચાલ, વિશાલ બાવરી નામના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયર બડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેંસ, હેરડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હવે આ ગેંગના રીશીપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:05 am

જામનગરમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ SGSTના બે અધિકારીઓ સસ્પેન્ડ:આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટા સામે સરકાર અને વિભાગની લાલ આંખ

ફરજમાં બેદરકારી દાખવવાના મામલે ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા જામનગરના SGST વિભાગના બે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પેઢીઓને નોટિસ આપ્યા બાદ ફરજમાં બેદરકારી રહેતા કાર્યવાહીપ્રાપ્ત માહિતી મુજબ, જામનગરની કેટલીક પેઢીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં કસૂર કરવા તેમજ ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાયા બાદ પ્રાથમિક રીતે અધિકારીઓની જવાબદારી નક્કી થતાં સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર શાસન દ્વારા કરવેરા વસૂલાત અને કાર્યવાહી પ્રક્રિયામાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ બિલિંગ કૌભાંડ સમયે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતીઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરવામાં મદદગારી અથવા તેનાથી સંબંધિત નાણાકીય ગેરરીતિની આશંકા હતી. તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને 'ફેક ઇન્વોઇસિંગ' (બોગસ બિલિંગ) કૌભાંડની તપાસ દરમિયાન આ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. ​ગુજરાત સરકાર અને વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમને હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:34 pm

મોરબી સાયબર ફ્રોડ:એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ, ડોક્ટર સામે 3 રાજ્યોમાં ફરિયાદ

મોરબીમાં સાયબર ફ્રોડના એક મોટા કેસમાં પોલીસે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડીયાએ કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભેજાબાજોને ભાડે આપ્યું હતું. આ ડોક્ટર સામે અગાઉ પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં પણ આવી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ડીવાયએસપી વિરલ દલવાડી પાસેથી મળતી માહિતી મુજબ, ડો. સુજલ ચામડીયાએ ₹20,000 કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ આરોપી ચિરાગ (અમદાવાદ) અને મનોજ વાલજીભાઈ મકવાણા (રંગપર, બોટાદ) ને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ દ્વારા ₹14,55,349 જમા થયા હતા, જેમાંથી ₹7,60,034 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાકીની રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે મોરબીના અકબર ફકરુદીનભાઈ શેખની પણ ધરપકડ કરી છે. અકબર શેખે પણ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જેમાં આંધ્રપ્રદેશમાંથી ₹29 લાખ આવ્યા હતા અને તે પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. હાલમાં, આરોપી ડો. સુજલ ચામડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે આરોપી અકબર શેખ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને મુખ્ય ભેજાબાજ શખ્સોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ.વસાવાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટને લગતા કુલ 15 ગુના નોંધાયા છે, જેમાં આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ તેમના બેંક એકાઉન્ટ ભાડે લેનારા મુખ્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:34 pm

બેચરાજીમાં 'ધ બેલા સ્પા'ની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું:પાટણના શખ્સની ધરપકડ, આરોપી યુવતીઓને ગ્રાહક દીઠ 1000 રૂપિયા આપતો

યાત્રાધામ બેચરાજીમાં મસાજ સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધા પર પોલીસે લાલ આંખ કરી છે.બહુચરાજી ટાઉનમાં આવેલ શક્તિ લેન્ડમાર્કના ત્રીજા માળે ચાલતા 'ધ બેલા સ્પા' પર પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાટણના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહારથી લાવવામાં આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી છે. શક્તિ લેન્ડમાર્કના ધ બેલા સ્પામાં મસાજની આડમાં સેક્સ રેકેટબેચરાજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, શક્તિ લેન્ડમાર્કમાં આવેલ ધ બેલા સ્પામાં મસાજ કરવાની આડમાં પરપ્રાંતીય મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે પંચો અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્પા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્પા સંચાલક રાજુ પ્રવિણભાઈ ચૌધરી (રહે. દુધારામપુરા, પાટણ) હાજર મળી આવ્યો હતો. એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યાપોલીસે સ્પાના રૂમોમાં તપાસ કરતા ત્યાંથી એક યુવક અને બે યુવતીઓ મળી આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારી દ્વારા યુવતીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આરોપી યુવતીઓને ગ્રાહક દીઠ 1000 રૂપિયા આપતોયુવતીઓએ કબૂલાત કરી હતી કે સંચાલક રાજુ ચૌધરી તેઓને દેહવ્યાપાર માટે બોલાવતો હતો અને ગ્રાહક દીઠ 1000 રૂપિયા મેળવી તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. આ યુવતીઓ છેલ્લા ત્રણેક દિવસથી આ સ્પામાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી રાજુ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાયોપોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ કબજે કરી આરોપી રાજુ ચૌધરી વિરુદ્ધ ઇમમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ PITA હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક નગરીમાં સ્પાના નામે ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:30 pm

વરાછા ઝોન-એ વેરા વસૂલાતમાં સમગ્ર શહેરમાં પ્રથમ:ગત વર્ષનો‌ તોડ્યો રેકોર્ડ, સીલની કાર્યવાહીથી 90 મિલકતદારોએ 3.56 કરોડનો વેરો ભર્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેરા વસૂલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં વરાછા ઝોન-એ પૂર્વ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગે સપાટો બોલાવતા સમગ્ર શહેરમાં વસૂલાતની કામગીરી કડક બનાવી ટકાવારીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી સીલિંગની ઝુંબેશને કારણે કરચોરોમાં ભારે ફફડાટ છે. વેરો ન ભરતા રહેણાંક અને કોમર્શિયલ મિલક્ત સીલ આજે વરાછા ઝોન-એની ટીમો દ્વારા વોર્ડ નં. 18-ડ માં સમાવિષ્ટ એવા પટેલનગર, માંગીલાલની ચાલ, ભંડારી લેબ્ગ્રોન, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ અને સરદાર હીરા ઉદ્યોગ જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે શિવાંજલી રો-હાઉસ, સૌરાષ્ટ્ર ડાયમંડ સોસાયટી, રૂપા એપાર્ટમેન્ટ, અજંતા ડાયમંડ, હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ અને ખાંડબઝાર જેવા રહેણાંક અને વ્યાપારી એકમોનિ મિલકતદારોને વારંવારની સૂચના છતાં વેરો ભરપાઈ કર્યો ન હતો તેથી તેમની મિલકતોને સ્થળ પર જ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 25 લાખની રોકડ વસૂલાત અને 30 લાખથી વધુના એડવાન્સ ચેકપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફક્ત આજની કામગીરી દરમિયાન વોર્ડ 18-ડી માંથી રૂ. 25 લાખની રોકડ વસૂલાત થઈ છે અને રૂ. 30 લાખથી વધુની રકમના એડવાન્સ ચેક મેળવવામાં આવ્યા છે. 80થી 90 મિલકતદારોએ 3.56 કરોડનો વેરો ભર્યોતારીખ 1 ફેબ્રુઆરી થી 7 ફેબ્રુઆરી, 2026 સુધીના આંકડાઓની વાત કરીએ તો, ઝોનની 100થી વધુ મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અંદાજે 80થી 90 મિલકતદારોએ સીલિંગની કાર્યવાહીથી બચવા તાત્કાલિક ધોરણે રૂ. 3.56 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. ગત વર્ષનો રેકોર્ડ તોડયો વરાછા ઝોન-એ અત્યારે સમગ્ર સુરત મહાનગરપાલિકામાં 67.59 ટકા વસૂલાત સાથે સૌથી આગળ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 219.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે ગત વર્ષની કુલ વસૂલાત રૂ. 212.31 કરોડ કરતા રૂ. 7.56 કરોડ વધુ છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:11 pm

'જનતા ચાલે અને નેતાઓ ગાડીમાં ફરે તે નહીં ચાલે':લલિત પરસાણા સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ ડિટેન, જૂનાગઢમાં મેળા પૂર્વે રાજકારણ ગરમાયું

જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. મેળાના આયોજનમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પક્ષપાતી વલણ સામે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મોરચો માંડ્યો હતો.જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા લલિત પરસાણા અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી તેમને ડિટેઈન કર્યા હતા. ‘યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી’લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ભવનાથ તળેટીમાં યોજાતો આ મેળો આપણી સનાતન સંસ્કૃતિ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મેળાની ગરિમા જળવાવી જોઈએ, પરંતુ આ વર્ષે તંત્રના અણઘડ અને જડ નિર્ણયોને કારણે શ્રદ્ધાળુઓ તેમજ સેવાકીય સંસ્થાઓ ભારે હાલાકી ભોગવી રહી છે. યાત્રિકોની સુવિધાના નામે માત્ર કાગળ પર વાતો થઈ રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ‘ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા’વિકાસના દાવાઓની પોલ ખોલતા વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે, મેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં વાઘેશ્વરી મંદિર જેવા અતિ મહત્વના રસ્તાઓ હજુ પણ ખોદાયેલી હાલતમાં છે. ધૂળની ડમરીઓ અને બિસ્માર રસ્તાઓ વચ્ચે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવું તે તંત્રની નિષ્ફળતા છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી કામગીરી હજુ સુધી પૂર્ણ કેમ થઈ નથી તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા હતા. 'VIP કલ્ચર અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં'સૌથી મોટો વિવાદ ટ્રાફિકના નિયમોને લઈને સર્જાયો છે. તંત્ર દ્વારા ગિરનાર દરવાજેથી તમામ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે પરસાણાએ જણાવ્યું કે, આ નિર્ણયને કારણે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ 10થી 11 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. એક તરફ સામાન્ય જનતાને ચલાવવામાં આવે છે અને બીજી તરફ ભાજપના નેતાઓ અને તેમના માનીતા કાર્યકરો પાસ લઈને લક્ઝરી ગાડીઓમાં મેળામાં ફરે છે. આ પ્રકારનું 'VIP કલ્ચર' અને ભેદભાવ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. 'મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ?'આ મેળો અનેક નાના વેપારીઓની આજીવિકા છે અને અનેક અન્નક્ષેત્રો અહીં આવતા શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ ઠારે છે. પરંતુ તંત્રના જડ નિયમોને કારણે આ તમામ સેવાભાવી લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો શ્રદ્ધાળુઓ સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ કે ભોજન પહોંચાડવામાં જ અવરોધ આવશે, તો મેળાની ગરિમા કેવી રીતે જળવાશે ? ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીપોલીસ અટકાયત બાદ પણ મક્કમ રહીને લલિત પરસાણાએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે, મેળો એ ભક્તિ અને શ્રદ્ધાનું સ્થળ છે, તેને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો તંત્ર આગામી દિવસોમાં પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે અને સામાન્ય જનતા માટે સુવિધાઓ ઉભી નહીં કરે, તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી નેતાઓને બોલાવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 10:09 pm

હિંમતનગરના વાટડા ડુંગર પર દીપડો દેખાયો:વીડિયો વાયરલ થતા વન વિભાગ પાંજરું મુકશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાટડા ગામ નજીકના ડુંગર પર દીપડો જોવા મળ્યો છે. આ દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવશે. વાયરલ થયેલા વીડિયોમાં ડુંગરની ટોચ પર જંગલી પ્રાણી દેખાયું હતું. શરૂઆતમાં સ્થાનિકો તેને વાઘ માની રહ્યા હતા. આ અંગે ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, વન વિભાગે તપાસ શરૂ કરી હતી. રાયગઢ વન વિભાગના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વીડિયોમાં દેખાતું જંગલી પ્રાણી દીપડો જ છે. સ્થળ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને દીપડાને પકડવા માટે ચોક્કસ જગ્યાએ પાંજરું મૂકવામાં આવશે. આ વીડિયો એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:59 pm

સોશ્યલ મીડિયામાં બાહુબલી તલવાર સાથે ફોટો મૂકનાર યુવક ઝડપાયો:હથિયારબંધી ભંગ બદલ પ્રભાસ પાટણ પોલીસે કાર્યવાહી કરી

ગીર સોમનાથ જિલ્લામાં સોશ્યલ મીડિયા પર બાહુબલી તલવાર સાથે ફોટો મૂકી વાયરલ કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ યુવકે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પ્રભાસ પાટણ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા કે વીડિયો મૂકી ખોટી દહેશત ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. આ આદેશ મુજબ સોશ્યલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ સૂચનાઓના અનુસંધાને, S.O.G. ગીર સોમનાથની ટીમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે એક યુવકે બાહુબલી તલવાર સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આફતાબ અલ્તાફભાઇ ચૌહાણ (ઉ.વ. 21, રહે. યોગાન ચોક, પ્રભાસ પાટણ, તા. વેરાવળ)ને બાહુબલી તલવાર સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી બે ફૂટ સાત ઇંચ લંબાઈની બંને બાજુ ધારવાળી ધાતુની બાહુબલી તલવાર કબ્જે કરવામાં આવી છે. આરોપી દ્વારા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં G.P. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી S.O.G. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડાના માર્ગદર્શન હેઠળ ASI દેવદાનભાઇ માણંદભાઇ અને S.O.G. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે ફોટા કે વીડિયો મૂકીને દહેશત ફેલાવનારા સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:51 pm

ફાઇનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોનો હુમલો:લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર શહેરમાં ફાઇન્સ કંપનીના ડિવિઝનલ મેનેજર પર પૂર્વ કર્મચારી સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. જૂના વહેમ અને રંજિશના કારણે લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા-પાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ થતા, પોલીસે આ બનાવમાં 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કંપનીમાં અગાઉ સાથે કામ કરતા શખ્સે જ જીવલેણ હુમલો કર્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ગ્રામીણ લિમિટેડ માઈક્રો ફાઇન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશ ભરતસિંહ પરમારએ કંપનીના પૂર્વ કર્મચારી ભાવનગરના રહેવાસી રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા અને અન્ય 3 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, નરેશ ભરતસિંહ પરમાર અને રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા કંપનીમાં સાથે કામ કરતા હતાં. જેમાં રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયાએ બે મહિના પહેલા કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. લોખંડના સળિયા અને ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીપરંતુ આ રાજીનામુ આપવામાં ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે કંપનીમાં ખોટી રજુઆત કરી હોવાનો રામદેવસિંહ સરવૈયાને મનમાં વહેમ હતો. જે વહેમની દાઝ રાખીને રામદેવસિંહ સરવૈયાએ અજાણ્યા શખ્સોને સાથે રાખી નરેશ પરમારને લોખંડના સળિયા, લાકડાના ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈજે બનાવના પગલે ડિવિઝનલ મેનેજર નરેશ પરમારે રામદેવસિંહ જયવંતસિંહ સરવૈયા તેમજ અન્ય અજાણ્યા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:50 pm

કેન્દ્રીય બજેટ 'વિકસિત ભારત 2047'નો સંકલ્પ સાકાર કરશે:મંત્રી અર્જુન મોઢવાડિયાએ 53.5 લાખ કરોડના બજેટને ઐતિહાસિક ગણાવ્યું

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પ્રતિક્રિયા આપતા તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું રૂ.53.5 લાખ કરોડનું આ બજેટ 'વિકસિત ભારત 2047'ની દિશા નિર્ધારિત કરશે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપશે. પોરબંદરના અટલ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટમાં મુખ્યત્વે પાંચ સ્તંભો - યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે મહિલા સશક્તિકરણ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં કરાયેલી જોગવાઈઓ ભારતને વિશ્વનું અગ્રિમ અર્થતંત્ર બનાવવામાં મદદ કરશે. કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટેની નવી યોજનાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપશે. ગુજરાત માટે બજેટની મહત્વની જાહેરાતો અંગે વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કેટલાક મુખ્ય મુદ્દાઓ ટાંક્યા હતા. પ્રવાસન ક્ષેત્રે, લોથલ અને ધોળાવીરા સહિત દેશના ૧૫ પુરાતત્વ સ્થળોને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ઉદ્યોગ અને વેપાર માટે, ગુજરાતના 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ એકમોને આ બજેટથી સીધો ફાયદો થશે. પશ્ચિમ બંગાળના દાનકુનીથી સુરત સુધીના નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપારને નવી ગતિ મળશે. ગિફ્ટ સિટીમાં આવતા નવા યુનિટોને 20 વર્ષ સુધી ટેક્સ ફ્રી રેઝીમનો લાભ મળશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે, જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને ગ્લોબલ મેડિકલ સેન્ટર તરીકે પ્રમોટ કરવામાં આવશે. શહેરી વિકાસ માટે, મ્યુનિસિપાલિટીઝને સક્ષમ બનાવવા મ્યુનિસિપલ બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવાની જોગવાઈ કરાઈ છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસના સંદર્ભમાં, મેક ઇન ઇન્ડિયા અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. સેમીકન્ડક્ટર 2.0 પોલિસી અને પાંચ નવા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક અને MSME સેક્ટર માટેની યોજનાઓથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સંરક્ષણ બજેટમાં 15%નો વધારો અને ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાનો લક્ષ્યાંક દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે. નવા ઇન્કમ ટેક્સ એક્ટથી મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:45 pm

મંત્રી મોઢવાડિયાએ શિક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ પર ભાર મૂક્યો:પોરબંદરમાં ઝોન કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

પોરબંદરના ઐતિહાસિક શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે ઝોન કક્ષાના 'એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ - 2025-26'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી શિક્ષણમાં ટેકનોલોજી અને નવા પ્રયોગોના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ઇનોવેશન એ મનુષ્યની પ્રકૃતિ છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં તેની લાંબા સમયથી ઉપેક્ષા થઈ છે. તેમણે આજના યુગમાં ટેકનોલોજીની ઝડપ સમજાવવા માટે OpenAI (ChatGPT)નું ઉદાહરણ આપ્યું. મંત્રીએ કહ્યું કે, માત્ર પાંચ વર્ષમાં આ સ્ટાર્ટઅપનું માર્કેટ કેપિટલાઇઝેશન ટાટા અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓની હરોળમાં આવી ગયું છે. ભારત માટે આવી આધુનિક ગતિશીલતા સ્વીકારવી હવે અનિવાર્ય છે. મંત્રીએ શિક્ષણવિદોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા મર્યાદિત ન રહેવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીના પાંચ મુખ્ય ગુણો વિકસાવવા હાકલ કરી. આ ગુણોમાં પર્યાવરણ જાળવણી (વૃક્ષારોપણ દ્વારા ક્લાયમેટ ચેન્જનો સામનો), સ્વચ્છતા (ગંદકી દૂર કરી સ્વચ્છ ભારતનો સંકલ્પ), ટ્રાફિક સેન્સ (અકસ્માતો ઘટાડવા જાગૃતિ), વ્યસનમુક્તિ (યુવાધનને ગંભીર બીમારીઓથી બચાવવું) અને વારસાનું જતન (1903ની આર.જી.ટી. કોલેજની જૂની ઇમારતના રિસ્ટોરેશન કાર્યનો ઉલ્લેખ) નો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલમાં શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો કરનાર શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર, પ્રાચાર્ય ડૉ. અલ્તાફ રાઠોડ, અગ્રણી લાખણશી ગોરાણીયા, વિક્રમભાઈ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:45 pm

‘ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું’:દાહોદ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ભાજપના તાનાશાહી શાસનનો હવે અંત આવશે:ચૈતર વસાવા; ભાજપ-કોંગ્રેસ છોડી કાર્યકરોએ ઝાડુ પકડ્યું

દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી હૃદયસમ્રાટ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક બાદ એક પરિવર્તન જનસભા સંબોધી રહ્યા છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે યોજાયેલી જનસભામાં હજારોની સંખ્યામાં જનસેલાબ ઉમટી પડતા વિરોધી છાવણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સહિતના આગેવાનોનો પાર્ટી છોડી ‘ઝાડુ’નો ખેસ ધારણ કર્યોનઢેલાવની આ પરિવર્તન સભામાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. ચૈતર વસાવાએ ગર્વભેર જણાવ્યું હતું કે, આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદિવાસી પાર્ટી (BAP) અને અન્ય સંગઠનોમાંથી મોટી સંખ્યામાં સક્રિય આગેવાનો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વસાવાએ તમામનું સહર્ષ સ્વાગત કરતા કહ્યું હતું કે, જે રીતે જનમેદની ઉમટી છે તે સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘આપ’ સ્વતંત્ર લડશે અને જીતશેઆગામી ચૂંટણીઓ અંગે રણશિંગુ ફૂંકતા ચૈતર વસાવાએ મક્કમતાથી જાહેરાત કરી હતી કે, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર સ્વતંત્ર રીતે લડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો, જનતાના સમર્થનથી ‘આપ’ ભવ્ય વિજય મેળવશે અને આ વિસ્તારમાંથી ધારાસભ્યો પણ ચૂંટાઈને વિધાનસભામાં જશે. સભા અટકાવવાના પ્રયાસો અને ભાજપની ‘તાનાશાહી’ પર પ્રહારચૈતર વસાવાએ વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અમારી અગાઉની સભા અભલોડ ગામના સરવાઈ ગ્રાઉન્ડ ખાતે નક્કી હતી. પરંતુ ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા હતા. સરપંચ પર દબાણ લાવવામાં આવ્યું કે જો સભા થશે તો તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને ઈન્કવાયરી આવશે. અંતે મૌખિક સંમતિ આપ્યા બાદ સરપંચે પીછેહઠ કરી અને પ્રાંત અધિકારીએ માત્ર 18 કલાક બાકી હતા ત્યારે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. આ ભાજપની વધતી જતી બીક અને તાનાશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. 18 કલાકમાં મેદાન તૈયાર કરી શક્તિપ્રદર્શન કર્યુંભાજપના અવરોધો છતાં સભા સફળ રહી તે અંગે તેમણે ગરબાડાની ટીમને અભિનંદન આપતા કહ્યું કે, જ્યારે અભલોડમાં મંજૂરી ન મળી ત્યારે નઢેલાવના એક ઉદાર જમીન માલિકે પોતાની જમીન આપી. કાર્યકરોએ માત્ર 18 કલાકમાં ખેતર સાફ કરી, મંડપ ખસેડીને ભવ્ય આયોજન કર્યું. તેમણે છેલ્લી ઘડીએ મંજૂરી આપવા બદલ વહીવટી તંત્રનો પણ આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે આ તાનાશાહીનો જવાબ જનતા લોકશાહી ઢબે ચૂંટણીમાં આપશે. દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાનો ચૈતર વસાવાનો દાવોભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરતા વસાવાએ આક્ષેપ કર્યો કે દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયો છે. મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડના દીકરાઓએ મોટું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ગુજરાત પેટર્ન યોજના, આદિ આદર્શ યોજના અને નલ સે જલ યોજનામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આદિવાસીઓની 73AA ની જમીનો પણ અધિકારીઓએ નેતાઓના ઈશારે બારોબાર વેચી દીધી છે, જેની તપાસ ભાજપના નેતાઓના નામ આવતા જ બંધ કરી દેવાઈ છે. આદિવાસી સમાજને ડરાવવાની રાજનીતિ સામે જંગચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે ભાજપના નેતાઓ આદિવાસી, OBC, કોળી, દલિત અને વંચિત સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે આ સમાજ SIR, UCC, UGC કે પોતાના બંધારણીય અને સામાજિક અધિકારોની વાત કરે છે, ત્યારે ભાજપના નેતાઓ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. લોકો જાગૃત ન થાય, શિક્ષણ કે રોજગારી ન માંગે અને ખેડૂતો સિંચાઈનું પાણી ન માંગે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેની સામે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડવા કટિબદ્ધ છે. મોદી-શાહના ગઢમાં ‘આપ’ બીજા નંબરે: વસાવાગુજરાતના રાજકીય માહોલ પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ છે એટલે ત્રીજો મોરચો નહીં ચાલે. પરંતુ આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દોડી રહી છે અને મજબૂત વિપક્ષ તરીકે ઉભરી છે. હાલના સર્વે મુજબ પણ ‘આપ’ બીજા ક્રમે છે. તેમણે આશા વ્યક્ત કરી કે દાહોદ, નર્મદા, વલસાડ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ‘આપ’ બહુમતી મેળવશે. કુપોષણ અને પછાતપણા માટે બજેટનો દુરુપયોગ જવાબદારદાહોદ જિલ્લાના પછાતપણા અંગે વસાવાએ જણાવ્યું કે જિલ્લાના વિકાસ માટે આવતું બજેટ નેતાઓ અને અધિકારીઓના પેટમાં જાય છે. આદિવાસીઓના કલ્યાણના પૈસા મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમો, વિકાસ યાત્રાઓ, અમૃત મહોત્સવ અને પ્રચાર-પ્રસારમાં વપરાય છે. કરોડો રૂપિયા જમણવાર અને નાસ્તામાં ઉડાવાય છે, જેના કારણે જિલ્લામાં કુપોષણ વધ્યું છે, શિક્ષકો અને શાળાના ઓરડાઓની ઘટ છે. જો ‘આપ’ સત્તામાં આવશે તો જ દાહોદનો સાચો વિકાસ થશે. નવું સ્લોગન: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”અંતમાં વસાવાએ વંશવાદ પર પ્રહાર કરતા નવું સૂત્ર આપ્યું હતું - ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું. તેમણે કહ્યું કે ભાજપમાં નેતાનો દીકરો કે ભાઈ જ ચૂંટણી લડે છે, જેમ કે દાહોદના સાંસદનો ભાઈ જ ધારાસભ્ય બને. પણ આમ આદમી પાર્ટીમાં સામાન્ય માણસને મંચ મળે છે. ‘આપ’ એટલે આપણે બધા, અને હવે આ ગુજરાત આપણે બધાનું છે, કોઈ એક પરિવારનું નથી. આ જનસભામાં આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સફળ બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:37 pm

વિદેશી દારૂની 72 બોટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો:ચોથીબેન છાશવાળાના ખાંચામાં દારૂ વેચતો હતો ને પોલીસ ત્રાટકી, એક આરોપી ફરાર

ભાવનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલિંગ હતી તે દરમ્યાન કુંભારવાડા વિસ્તારમાં રેડ કરતા સ્થળ પરથી એક શખ્સને ઝડપી લઇ રૂ.63,120 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી હાલ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે, આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુંભારવાડાનો રહેવાસી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અબ્દુલ કલામ નીશાળવાળા ચોકની પાસે આવેલ ચોથીબેન છાશવાળાના ખાંચામાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મૂળ કુંભારવાડાનો રહેવાસી મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. એક શખ્સ ફરારપોલીસે રેઇડ કરતા મુસ્તુફા ઉર્ફે ભાણો સલીમભાઇ આરબ મળી આવતા તપાસ દરમ્યાન ઇગ્લીંશ દારૂની નાની-મોટી 72 નંગ બોટલો સહીત કુલ.રૂ.63,120ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સ હારૂન અવેશભાઇ કટીયા જે પકડવાનો બાકી છે. પોલીસે આ બનાવના બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુન્હો દાખલ કરાવતા બોરતળાવ પોલીસે પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:19 pm

ચૂંટણી પંચે ગુજરાત માટે ખાસ યાદી નિરીક્ષક નિમ્યા:ઐશ્વર્યા સિંઘે પાંચ જિલ્લાના અધિકારીઓને મતદાર યાદી સુધારણા પર માર્ગદર્શન આપ્યું

ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ઐશ્વર્યા સિંઘ (IAS), સંયુક્ત સચિવ અને એમ.ડી. (SBM-G), પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક (SRO) તરીકે નિમણૂક કરી છે. આ સંદર્ભે, તેમણે પાટણ કલેકટર કચેરી ખાતેથી એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઐશ્વર્યા સિંઘે પાંચ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે જોડાઈને ચાલી રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભરૂચ, નર્મદા, દાહોદ અને વલસાડ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા, જ્યારે પાટણના જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ મળેલા દાવાઓ અને વાંધાઓના નિકાલની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. નોટિસ તબક્કો, સુનાવણી અને ફોર્મ પર લેવાના થતા નિર્ણયો અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મતદાર નોંધણી અધિકારીઓ (EROs) દ્વારા દાવા-વાંધાના નિકાલની ઝડપ અને ચોકસાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. યાદીની ગુણવત્તા, જેમાં મતદાર યાદીના 'હેલ્થ પેરામીટર્સ' તપાસવા અને અંતિમ પ્રકાશન માટે કમિશનની પરવાનગી મેળવવા સહિતની ટેકનિકલ બાબતો અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઐશ્વર્યા સિંઘે પારદર્શક અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે હેતુથી તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:10 pm

ખીજડીયા અભયારણ્યમાં પક્ષી ગણતરી પૂર્ણ:1000 પક્ષીવિદોએ 300થી વધુ પ્રજાતિના 2 લાખ પક્ષીઓ નોંધ્યા

જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. આ કામગીરીનો મુખ્ય હેતુ અભયારણ્યમાં પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ અને પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાનો હતો. આ ડેટા ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં તેમજ સરકારની સંરક્ષણાત્મક યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સાબિત થશે. પક્ષી ગણતરી માટે સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હતું. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ, પક્ષીવિદો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ઈ-બર્ડ એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે ડેટા નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન અને સ્કેનકાર્ડ જેવી પરંપરાગત પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખીજડીયા પક્ષી અભયારણ્યને પક્ષીઓ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવે છે. અભયારણ્યનું કુદરતી વાતાવરણ, જળાશયો અને હરિયાળું પરિસર પક્ષીઓ માટે અત્યંત અનુકૂળ છે, જેના કારણે અહીં વિવિધ જાતિના પક્ષીઓ નજીકથી નિહાળવાની ઉત્તમ તક મળે છે. આ વિશેષ કામગીરીમાં મરીન નેશનલ પાર્ક, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, વિવિધ એનજીઓ, રેસ્ક્યુ ટીમો અને ગાઈડમિત્રો સહિત અનેક પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિમિત્રોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને આ ગણતરીને સફળ બનાવી હતી. આ બે દિવસીય પક્ષી ગણતરીની કામગીરી મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજા ના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, મદદનીશ વન સંરક્ષક પ્રતીક જોશી અને શૈલેષ ત્રિવેદી દ્વારા સમગ્ર આયોજન અને દેખરેખ રાખવામાં આવી હતી. જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્યના આરએફઓ દક્ષાબેન વધાસિયા દ્વારા મેદાની સ્તરે સંકલન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. વિવિધ વિંગના સ્ટાફ દ્વારા સંકલિત રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:06 pm

જંબુસર પાસે દારૂ કાર્ટીંગ પર LCBનો દરોડો:₹39.30 લાખના મુદ્દામાલ સાથે 6 બુટલેગર ઝડપાયા, 3 વોન્ટેડ

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી કરી છે. આમોદ–મગણાદ રોડ પર આવેલી હોટેલ કૃષ્ણા કાઠીયાવાડીના કંપાઉન્ડમાંથી દારૂ કાર્ટીંગ દરમિયાન છ બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂપિયા 39,30,200 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. ભરૂચ LCB પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.પી. મલ્હોત્રા અને આર.કે. ટોરાણીની ટીમે ગતરોજ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હોટેલ કૃષ્ણા કાઠીયાવાડીના કંપાઉન્ડમાં રેઈડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 195 બોક્સમાં ભરેલ 7,200 નંગ દારૂ/ટીન બીયર (કિંમત ₹25,64,200), 8 મોબાઈલ ફોન (₹66,000), એક આઈસર ટ્રક (₹10,00,000), એક ફોરવ્હીલ કાર (₹3,00,000) તેમજ અન્ય સામાન મળી કુલ ₹39,30,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં નીરકુંશ અનિલ લહાસે, કિરણસિંહ ગેમલસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરસંગ વસાવા અને મેહુલકુમાર અરવિંદ પાટણવાડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાહુલ આહીર, લાલો અને અનીત લંગડોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:04 pm

વલસાડમાં ખેતરોમાંથી ચોરી વધી:મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરીથી ખેડૂતોમાં રોષ

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેતરોમાંથી મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરીની ઘટનાઓ વધી છે. આનાથી કંટાળીને મોટી સંખ્યામાં ખેડૂતોએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તસ્કરો ખાસ કરીને સબમર્સિબલ મોટરના કેબલ અને સ્ટાર્ટરની ચોરી કરે છે. ઘણી જગ્યાએથી આખી મોટર પણ ચોરી થઈ જાય છે. ચોરો મુખ્યત્વે કેબલની અંદર રહેલા કોપર વાયર મેળવવા માટે આ ચોરીઓ કરે છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ખેડૂત બળવંતભાઈ પટેલે જણાવ્યું કે તેમના ગામમાં દર ત્રીજા દિવસે અથવા દરરોજ રાત્રે ચોરી થાય છે. ખેતરો અને વાડીઓ વસ્તીથી દૂર અને અવાવરુ હોવાથી તસ્કરોને રાત્રિના સમયે ચોરી કરવાનો લાભ મળે છે. એક કેબલ કે મોટર ચોરાવાથી ખેડૂતને હજારો રૂપિયાનો આર્થિક ફટકો પડે છે અને ખેતીના કામમાં વિલંબ થાય છે. ખેડૂતોએ પોલીસ સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં ગામના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવા, રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવું અને અગાઉ ચોરીમાં પકડાયેલા ગુનેગારો તેમજ ખેતીના સાધનોનો ભંગાર લેતા વેપારીઓની કડક પૂછપરછ કરવાનો સમાવેશ થાય છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને ચોરી અટકાવવામાં નહીં આવે અને આરોપીઓને પકડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:02 pm

કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી:સુરેન્દ્રનગરમાં 9 ફેબ્રુઆરીએ ધરણા અને રેલીનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરમાં લોકશાહી અને મતદારોના અધિકારો બચાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ એક મહારેલી અને ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી અને અમિત ચાવડા સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. આ આયોજન મતદાતાઓના નામ ખોટી રીતે કાપી નાખવાની પ્રવૃત્તિ સામે કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે દરેક નાગરિકે પોતાના બંધારણીય અધિકારોની રક્ષા માટે આગળ આવવું જોઈએ. ડો. મનીષ દોશીએ આ અંગે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે મતદાતાનો મત છીનવાય છે, ત્યારે લોકશાહીના મૂળ પર જ ઘા થાય છે. આ દરેક નાગરિકના અધિકારનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું કે જો Form-7ના નામે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ થાય, તો તેની સામે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. આ કાર્યક્રમ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી શરૂ થશે. રેલી કલેક્ટર કચેરી અને ત્યારબાદ એસપી ઓફિસ સુધી જશે, જ્યાં ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. ડો. મનીષ દોશીએ દરેક નાગરિક, યુવાન, કાર્યકર્તા અને જાગૃત મતદાતાને આ લોકશાહી સંઘર્ષમાં જોડાવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોતાના બંધારણીય હક જાળવવા અને લોકશાહી માટે અવાજ બનવા માટે સૌએ આગળ આવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મત આપવાનો અધિકાર એ મૂળભૂત હક છે અને રજૂઆત કરવી એ ગુનો નથી. લોકશાહી બચાવવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:00 pm

ખેરગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પકડાયો:વન વિભાગને ત્રીજા દિવસે સફળતા, બહેજ ગામમાં હાશકારો

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગને ત્રીજા દિવસે વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળી હતી, જેનાથી સ્થાનિકો અને ખેતમજૂરોએ રાહત અનુભવી છે. ખેરગામના બહેજ ગામના ઝરા ફળિયામાં દીપડાના હુમલા બાદ વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું હતું. બાળકી પર હુમલો કર્યાના ત્રીજા દિવસે, આશરે 3 વર્ષની ઉંમરનો દીપડો શિકારની લાલચમાં પાંજરામાં ફસાયો હતો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી દીપડાનો કબજો લીધો હતો. હાલમાં પકડાયેલા દીપડાની તબિયતની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીના રોજ બહેજ ગામના ઝરા ફળિયામાં એક 4 વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. તે સમયે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીની બૂમો સાંભળીને આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો બાળકીને છોડીને ખેતરોમાં ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં આસપાસના વિસ્તારોમાં શેરડીના ખેતરોની કપાત ચાલી રહી છે. શેરડી કપાવાને કારણે દીપડાઓને છુપાવવાની જગ્યા મળતી નથી, જેથી તેઓ રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ ઘટનાને પગલે ખેતમજૂરોમાં ભયનો માહોલ હતો, પરંતુ દીપડો પાંજરે પુરાતા હવે સ્થિતિ સામાન્ય બની છે. વન વિભાગે ગ્રામજનોને હજુ પણ સાવચેત રહેવા અને ખેતરોમાં જૂથમાં જવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 9:00 pm

નવસારી પોલીસે ₹6.50 લાખનો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને સોંપાયો

નવસારી ટાઉન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 6.50 લાખથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે. આ મુદ્દામાલમાં ચોરાયેલા અને ગુમ થયેલા 12 મોબાઈલ ફોન તેમજ એક જનરેટરનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન રિકવર કરેલો લાખોની કિંમતનો મુદ્દામાલ પરત કરીને પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા અને તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલી ચોરીની ઘટનાઓ અને ગુમ થયેલા મોબાઈલ ફોન બાબતે સઘન તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ટૂંકા ગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પરત કરવામાં આવેલી વસ્તુઓની વિગતો નીચે મુજબ છે: અલગ-અલગ કંપનીના કુલ 12 મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 2,00,964/- છે, અને 1 જનરેટર, જેની કિંમત રૂ. 4,50,000/- છે. આમ, પોલીસે કુલ રૂ. 6,50,964/- નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આજે, તા. 07/02/2026 ના રોજ આયોજિત કાર્યક્રમ દરમિયાન આ તમામ ચીજવસ્તુઓ તેના કાયદેસરના માલિકોને બોલાવીને સુપરત કરવામાં આવી હતી. પોતાની ખોવાયેલી કે ચોરાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારોએ નવસારી પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ગુનાખોરી ડામવા અને પ્રજાની સુરક્ષા સાથે તેમની માલમિલકત જાળવવી એ પોલીસની પ્રાથમિકતા છે. આ જ ઉદ્દેશ્ય સાથે આ રિકવરી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:59 pm

પોરબંદરમાં સાયબર ફ્રોડના 13 લોકો ભોગ બન્યા:'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસ ટીમે ₹2.26 લાખ પરત અપાવ્યા

પોરબંદર જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે કમલાબાગ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 13 અરજદારોને ટેકનિકલ તપાસના અંતે કુલ ₹2,26,846/- ની રકમ પરત અપાવી છે. આ નાણાં 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનારને સોંપવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાગરિકો સાથે અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવામાં આવી હતી. આમાં મુખ્યત્વે ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ફેક કોલ, RTO ચલણ, ઓલ્ડ કોઈન એક્સચેન્જ સ્કીમ, ઓનલાઈન જોબ, હોટેલ બુકિંગ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ લોભ અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ ગિફ્ટ ફ્રોડનો સમાવેશ થાય છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેષ ઝાંઝડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયાના માર્ગદર્શનમાં સાયબર ટીમે આ સફળતા મેળવી. ટીમમાં એએસઆઈ નવઘણ દેસાઈ, ડબલ્યુએલઆર વૈશાલીબેન ભીમસિંહભાઈ અને આઈટી એક્સપર્ટ દેવાંગીબેન નાઈ સામેલ હતા, જેમણે ઝીણવટભરી તપાસ કરી ફ્રોડમાં ગયેલી રકમ શોધી કાઢી. પોલીસે જનતાને સાયબર સુરક્ષા બાબતે જાગૃત રહેવા અને નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે. ઓનલાઈન ટિકિટ કે ક્રેડિટ કાર્ડ બાબતે કસ્ટમર કેર નંબર હંમેશા અધિકૃત વેબસાઈટ પરથી જ મેળવવા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અજાણ્યા વીડિયો કોલથી સાવધ રહેવું. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવા પર ટીમ વ્યુઅર , એનીડેસ્ક કે અવ્વલ ડેસ્ક જેવી રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:56 pm

અમરોલીની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા ભારે પડી:રોમિયોના ત્રાસથી ભાજપ કાર્યાલયમાં નોકરી કરતી યુવતીનો આપઘાતનો પ્રયાસ, જ્યારે આરોપીની માતાનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ભાજપના મુખ્ય કાર્યાલયમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતી 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ, આ કેસમાં જે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેની માતાનો મૃતદેહ પણ તાપી નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ કાર્યાલયની કર્મચારી યુવતીને ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડીભોગ બનનાર યુવતી સુરતના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલયમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આશરે 4થી 5 મહિના પહેલા તેણીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નિર્મળ ઉર્ફે નીક કિશોરભાઈ પરમાર નામના યુવક સાથે થયો હતો. નિર્મળે યુવતીના ભાઈ સાથે પોતાની મિત્રતા હોવાનું જણાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો અને ધીમે ધીમે વાતચીત શરૂ કરી હતી. ગુનાહિત ઇતિહાસ બહાર આવતા સંબંધોમાં તિરાડશરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ યુવતીને નિર્મળના અસલી ચહેરાનો પરિચય થયો. યુવતીને જાણવા મળ્યું કે નિર્મળ ન માત્ર નશાનો આદિ છે, પરંતુ તેનો ભૂતકાળ પણ ગુનાહિત પ્રવૃત્તિઓથી ખરડાયેલો છે. પોતાની કારકિર્દી અને પરિવારની પ્રતિષ્ઠાને ધ્યાને રાખી યુવતીએ નિર્મળ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો અને તેની સાથે વાત ન કરવાનો મક્કમ નિર્ણય લીધો હતો. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા રોમિયોનો ત્રાસસંબંધ તોડ્યા બાદ નિર્મળની માનસિકતા વધુ હિંસક અને વિકૃત બની ગઈ હતી. તે યુવતીના પ્રેમમાં એક તરફી પાગલ બની ગયો હતો. તેણે યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ યુવતી કોલેજ જવા નીકળે અથવા ભાજપ કાર્યાલય પર પોતાની ફરજ બજાવવા માટે જતી, ત્યારે નિર્મળ રસ્તામાં ઉભો રહી જતો અને તેણીને જાહેરમાં રોકીને માનસિક ટોર્ચર કરતો હતો. 'તારું નામ લખીને મરી જઈશ' , ઇમોશનલ બ્લેકમેલિંગ કરીઆરોપી નિર્મળ માત્ર પીછો જ નહોતો કરતો, પરંતુ તે યુવતીને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપતો હતો. તે વારંવાર કહેતો કે, “જો તું મારી સાથે વાત નહીં કરે તો હું ચિઠ્ઠીમાં તારું નામ લખીને આત્મહત્યા કરી લઈશ.” આ પ્રકારની ધમકીઓ આપીને તે યુવતીને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરતો હતો, જેથી તે ડરના માર્યા તેની સાથે ફરી વાત કરવા લાગે. પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપીયુવતી જ્યારે તેની ધમકીઓ સામે ન નમી, ત્યારે નિર્મળે હિંસાનો માર્ગ અપનાવ્યો. તેણે યુવતીને ધમકી આપી કે જો તે તેની સાથે વાત નહીં કરે તો તે તેના ભાઈ અથવા પરિવારના અન્ય સભ્યોને જાનથી મારી નાખશે. ભાજપ કાર્યાલયમાં કામ કરતી આ યુવતી માટે આ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, કારણ કે એક બાજુ પોતાની સુરક્ષા હતી અને બીજી બાજુ પરિવારની સલામતી. ધમકીભર્યા કોલ્સથી યુવતીની માનસિક સ્થિતિ કથળીગઈકાલે 4 ફેબ્રુઆરીના રોજ યુવતી જ્યારે ભાજપની મુખ્ય કચેરીએ કામ કરી રહી હતી, ત્યારે નિર્મળે તેને સતત ફોન કોલ્સ કરવાનું શરૂ કર્યું હતું. ઓફિસના કામકાજ દરમિયાન વારંવાર આવતા ધમકીભર્યા કોલ્સથી યુવતીની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. નિર્મળે ફોન પર કહ્યું કે, તું જો મારી સિવાય બીજા કોઈ સાથે વાત કરીશ તો તારા અને તારા ભાઈના હાલ બગાડી નાખીશ. ઘરમાં એકલતા અને આપઘાતનો જીવલેણ પ્રયાસઆરોપીના સતત ત્રાસથી કંટાળીને યુવતી ઓફિસથી રજા લઈને ઘરે પરત ફરી હતી. ઘરે કોઈ ન હોવાથી તે અત્યંત ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આરોપીની ધમકીઓ અને વારંવારના ટોર્ચરથી છુટકારો મેળવવા માટે તેણે અનાજમાં નાખવાના પાઉડરની પડીકી ખાઈ લીધી હતી અને ત્યારબાદ બ્લેડ વડે પોતાના હાથ પર ઘા મારી દીધા હતા. સોશિયલ મીડિયા પર ફોટા મોકલીને પાડોશીને જાણ કરીયુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં અને ઝેરી દવાની અસરમાં પોતાના ફોટા પાડોશીને મોકલ્યા હતા. પાડોશીઓએ તરત જ આ ગંભીરતા સમજીને યુવતીના ઘરે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક સુરતની પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તેની તબિયત નાજુક છે અને તે ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે. આરોપીની માતાનો તાપી નદીમાંથી મૃતદેહ મળ્યોઆ કેસમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે યુવક (નિર્મળ) વિરુદ્ધ યુવતીએ ફરિયાદ કરવાની તૈયારી કરી હતી, તે નિર્મળની માતા ચંદ્રિકાબેન પરમારનો મૃતદેહ તાપી નદી બ્રિજ નીચે થી મળી આવ્યો છે. શુક્રવારે વહેલી સવારે 47 વર્ષીય ચંદ્રિકાબેન ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ અમરોલી તાપી બ્રિજ નીચેથી તેમનો મૃતદેહ મળ્યો હતો. માતાની માનસિક બીમારી કે પુત્રના કર્મોનું ફળ?ચંદ્રિકાબેનના પરિવારજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 થી 4 મહિનાથી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા. તેમના પતિનું અગાઉ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અને તેઓ તેમના ત્રણ પુત્રો સાથે સુરતમાં રહેતા હતા. જોકે, પોલીસ તપાસ કરી રહી છે કે શું માતાના આપઘાત પાછળ પુત્ર નિર્મળની કરતૂતો અને તેના પર થનારી પોલીસ કાર્યવાહીનો ડર જવાબદાર હતો કે કેમ. પુત્ર સાગરે જ માતાની લાશ શોધી કાઢીચંદ્રિકાબેન ઘરે ન દેખાતા તેમના પુત્રોએ શોધખોળ કરી હતી. જેમાં મોટો પુત્ર સાગર શોધતા-શોધતા તાપી બ્રિજ પાસે પહોંચ્યો અને ત્યાં તેને પોતાની માતાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. એક જ પરિવારમાં એક બાજુ પુત્ર સામે ગંભીર ગુનો નોંધાયો છે અને બીજી બાજુ માતાનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરીયુવતીની ફરિયાદ અને તેની સ્થિતિને જોતા અમરોલી પોલીસે આરોપી નિર્મળ ઉર્ફે નીક કિશોરભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 78(1)(i), 78(2) (છેડતી અને પીછો કરવો) તથા 351(3) (જાનથી મારી નાખવાની ધમકી) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને તેના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. બીએનએસ (BNS) ની કલમો હેઠળ કડક કાર્યવાહીનવા કાયદા મુજબ મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. પીછો કરવો (Stalking) અને માનસિક ત્રાસ આપીને આપઘાત માટે મજબૂર કરવાના પ્રયાસ બદલ આરોપીને આકરી સજા થઈ શકે છે. પોલીસ ભાજપ કાર્યાલયના અન્ય કર્મચારીઓ અને યુવતીના મિત્રોના નિવેદન પણ નોંધી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:53 pm

બોટાદ આંગણવાડી બાળકોના પોષણનું વેરિફિકેશન પૂર્ણ:SUW, SAM બાળકોની વજન અને ઊંચાઈની ક્રોસ તપાસ કરાઈ

બોટાદ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્રોસ વેરિફિકેશન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બોટાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોના પોષણ સ્તર અંગે સાચી અને ચોક્કસ માહિતી મેળવી, કુપોષણની સમસ્યાને સમયસર ઓળખી તેનું નિવારણ કરવાનો છે. આ ક્રોસ વેરિફિકેશન અંતર્ગત SUW (Severely Underweight) અને SAM (Severe Acute Malnutrition) શ્રેણીમાં આવતા બાળકોની વજન-ઊંચાઈની ખાસ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી બોટાદ તાલુકાના હડદડ, કાનીયાડ, પાળીયાદ સહિતના વિવિધ ગામોની આંગણવાડી કેન્દ્રોમાં થઈ હતી. દરેક બાળકની નોંધણી, માપણી અને રેકોર્ડ ચકાસણી કરીને માહિતીની ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી હતી. વેરિફિકેશન દરમિયાન, આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયક બહેનો દ્વારા બાળકોના વાલીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. વાલીઓને તેમના બાળકોના આરોગ્ય, પોષણની સ્થિતિ અને વિકાસ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વાલીઓને સંતુલિત આહાર, સમયસર પૂરક પોષણ, ઘરેલુ સ્વચ્છતા અને નિયમિત આરોગ્ય ચકાસણી અંગે માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને કુપોષિત બાળકો માટે પોષણસભર આહાર અને યોગ્ય દેખરેખ રાખવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ક્રોસ વેરિફિકેશન દ્વારા બાળકોના પોષણ સ્તર અંગે વાસ્તવિક સ્થિતિ જાણી શકાઈ છે. આ માહિતી ભવિષ્યમાં કુપોષણ નિવારણ માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:05 pm

પાવી જેતપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં ચુકાદો:પોક્સો કોર્ટે આરોપી ભર્મેશ નાયકાને 20 વર્ષની કેદ ફટકારી

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી ભર્મેશભાઈ અનોપભાઈ નાયકાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરાને ગામનો જ યુવક ભર્મેશ નાયકા લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગેની ફરિયાદ પાવી જેતપુર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભર્મેશભાઈ અનોપભાઈ નાયકાની ધરપકડ કરી હતી. આ કેસ છોટા ઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને, પોક્સો કોર્ટના જજ જસપ્રીતસિંગ ગુરુમુખસિંગ બગ્ગાએ આરોપીને 20 વર્ષની કેદ અને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 8:02 pm

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં આવતીકાલે જલસા સ્ટ્રીટ કાર્નિવલ:70થી વધુ એક્ટિવિટીઝ સાથે સૂફી નાઈટ સુધીના અનેક આકર્ષણો, બપોરે 12થી રાત્રે 11 સુધી નોનસ્ટોપ મનોરંજન

ગાંધીનગરમાં આવતીકાલે રવિવારે ફિટનેસ અને મનોરંજનના સૌથી મોટા જલસા સ્ટ્રીટનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે 12 કલાકથી શરૂ થનાર આ કાર્નિવલમાં 70થી વધુ એક્ટિવિટીઝ સાથે સૂફી નાઈટ સુધીના અનેક આકર્ષણો મોડી રાત સુધી નગરજનોને હર્ષોલ્લાસમાં તરબોળ કરશે. 8 ફેબ્રુઆરીએ જલસા સ્ટ્રીટ કાર્નિવલ, પરંપરાગત રમતો રમાશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે 8 ફેબ્રુઆરી જલસા સ્ટ્રીટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના આયોજનમાં આધુનિક અને પરંપરાગત રમતોનો અનોખો સમન્વય જોવા મળશે. જેમાં યુવાનો માટે ક્રિકેટ બોલ-આઉટ અને ફૂટબોલ પેનલ્ટી શૂટઆઉટ જેવી હાઈવોલ્ટેજ સ્પોર્ટ્સ રાખવામાં આવી છે. લખોટી, ભમરડો, લગોરી, લીંબુ-ચમચી અને કોથળા દોડ તો બીજી તરફ નવી પેઢીને વિસરાતી જતી સંસ્કૃતિથી પરિચિત કરાવવા લખોટી, ભમરડો, લગોરી, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી દેશી રમતોનું ખાસ આયોજન કરાયું છે. જ્યારે આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ઝુમ્બા સેશન, પ્લેન્ક ચેલેન્જ અને આર્મ રેસલિંગ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. બાળકો માટે ફેસ પેઇન્ટિંગ, ટ્રેમ્પોલીન અને સ્ટ્રીટ ચોક આર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ બાદ સાંજે મનોરંજનઆ ઉપરાંત, શહેરીજનોના જ્ઞાનની કસોટી કરવા માટે ‘નો યોર ગાંધીનગર’ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજવામાં આવનાર છે. જ્યારે આખો દિવસ શારીરિક પ્રવૃત્તિઓ બાદ સાંજની શરૂઆત મનોરંજનથી થશે. રાત્રે 7 કલાકે પ્રખ્યાત કલાકાર બ્રિજ શાહ લાઈવ સૂફી નાઈટ રજૂ કરશે. સૂફી સંગીતની સાથે વિવિધ ડાન્સ ગ્રુપ દ્વારા પર્ફોર્મન્સ આપીને માહોલને રંગીન બનાવવામાં આવશે. બ્લડ ડોનેશન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પત્યારે મનોરંજનની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થળ પર બ્લડ ડોનેશન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન છે. ખાણી-પીણીના શોખીનો માટે વિવિધ ફૂડ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે જેથી લોકો સહપરિવાર આખું રવિવાર માણી શકે. મહાનગરપાલિકાએ આ કાર્યક્રમમાં પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:54 pm

પોરબંદર ગ્રામ્યમાં 1.73 કરોડના જળસંચય કામોનું ખાતમુહૂર્ત:મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે વોકળા ઊંડા ઉતારવાનો પ્રારંભ

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી ₹1.73 કરોડના ખર્ચે વોકળા ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસકામોનો પ્રારંભ કરાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ બનાવવાનો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત લાવડીયા દેગામ વોકળાને ₹23 લાખના ખર્ચે અને મસાણીયા વોકળાને ₹150 લાખના ખર્ચે ઊંડો ઉતારવાનું આયોજન છે. આ કામગીરીથી ચોમાસામાં પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. દેગામ, સીમાણી, ભારવાડા, બખરલા અને બેરણ સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે આ યોજનાનો સીધો લાભ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. તેમણે કમોસમી વરસાદના સમયે જાહેર કરાયેલા ઐતિહાસિક રાહત પેકેજને યાદ કરીને ખેડૂતોને મળેલા આર્થિક પીઠબળ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ નવી પેઢીને વ્યસનમુક્ત બની આધુનિક ખેતી અપનાવવા અને કૃષિમાં નવીનતા લાવવા પ્રેરણા આપી.પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતા મંત્રીએ 'ગ્રીન પોરબંદર' પ્રોજેક્ટની વિગતો આપી હતી. તેમણે દરેક ગામમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવા ગ્રામજનોને અપીલ કરી. તેમણે ઉમેર્યું કે, જળ સંચયના આ કાર્યોથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને પશુપાલન જેવા વ્યવસાયોને પણ સમૃદ્ધિ મળશે.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પણ ખેડૂતોને આ યોજનાથી થનારા ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા અને જિલ્લાને હરિયાળો બનાવવા વૃક્ષોની જાળવણી પર ભાર મૂક્યો હતો. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, અગ્રણીઓ રામદે મોઢવાડિયા, હાથિયા ખુટી, કેશુ ઓડેદરા, ભીમભાઇ, ભુરા કેશવાલા, પ્રતાપ કેશવાલા, સામત ઓડેદરા, વિરમ કારાવદરા સહિત સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:53 pm

ભાવનગરની સર ટી હોસ્પિટલના તબીબોનો ચમત્કાર:15 વર્ષે જન્મેલા ચાર નવજાત શિશુઓને 63 દિવસની જહેમત બાદ નવજીવન મળ્યું

મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા કિસ્સા બને છે જે માનવ જીજીવિષા અને તબીબોના સમર્પણનો વિજય સાબિત થાય છે ભાવનગરની સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ (NICU) ની ટીમે આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો કરી બતાવ્યો છે જેમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ IVF પદ્ધતિથી જન્મેલા અને અત્યંત ઓછું વજન ધરાવતા ચાર બાળકો ને 63 દિવસની સઘન સારવાર બાદ સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી છે, ​​તલાજા તાલુકાના ભાળર ગામના વતની અને વ્યવસાયે બાંધકામ મજૂર એવા દંપતીને ત્યાં લગ્નના 15 વર્ષ બાદ ચાર બાળકોનો જન્મ થયો હતો, જોકે, આ ચારેય બાળકો અધૂરા માસે જન્મેલા અને અત્યંત ઓછું વજન ધરાવતા હતા. ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે તેઓને સર ટી હોસ્પિટલ રિફર કરાયા ત્યારે સ્થિતિ ગંભીર હતી, ​બાળકોના વજનની વિગતોમાં જેમાં પ્રથમ બાળકનું જન્મ સમયએ 850 ગ્રામ ડિસ્ચાર્જ સમયએ 1.350 કિલોગ્રામ, બીજું બાળક જન્મ સમયે 800 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.570, ત્રીજું બાળક જન્મ સમયે 780 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.450 કિલોગ્રામ, ચોથું બાળક જન્મ સમયે 820 ગ્રામ ડિસ્ચાર્જ સમયે 1.440 કિલોગ્રામ, આમ, ​63 દિવસે બાળકો સ્વસ્થ જણાવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, ​વિભાગીય વડા ડો.મેહુલ એમ.ગોસાઈ અને NICU ઇન્ચાર્જ ડો. અરવિંદ કુચાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે રાત-દિવસ મહેનત કરી હતી, ચારેય બાળકોને 21 દિવસ સુધી વેન્ટિલેટર અને 9 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા, ફેફસાં માટે 'સર્ફેક્ટન્ટ થેરાપી', IV એન્ટીબાયોટિક્સ અને આરટી ફીડિંગ જેવી અદ્યતન સારવાર અપાઈ હતી, આંખોની તપાસ (ROP), હૃદયની તપાસ (2D Echo) અને USG જેવા તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ જ રજા અપાઈ છે, ​ડીન ડો.ચિન્મય શાહ અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અશોક વાળાના નેતૃત્વ હેઠળ સર ટી હોસ્પિટલના NICU વિભાગે સાબિત કર્યું છે કે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે ડો.મેહુલ ગોસાઈ સાથે ડો.અલ્પા પારેખ, ડો. કમલેશ ઉનડકટ અને રેસિડેન્ટ તબીબો તેમજ નર્સિંગ હેડ દિલીપભાઈ પટેલના સ્ટાફે આ ભગીરથ કાર્યમાં ફાળો આપ્યો હતો, આ માત્ર તબીબી સારવાર નથી, પણ એક ગરીબ પરિવારના 15 વર્ષના સ્વપ્નને જીવંત રાખવાનો પ્રયાસ છે, અમારી આખી ટીમ માટે આ ક્ષણ અત્યંત ગર્વની છે તેમ ડો.મેહુલ એમ. ગોસાઈ વિભાગીય વડાએ જણાવ્યું હતું, ​આજે જ્યારે આ ચાર નવજાત શિશુઓ તેમના માતા-પિતા સાથે હસતા મુખે ઘરે પરત ફર્યા, ત્યારે હોસ્પિટલના સ્ટાફમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:52 pm

દોઢ વર્ષથી પુત્રનું મોઢું જોયું નથી, આપઘાતના વિચાર આવે છે:ધુતારાના ઢોંગમાં યુવક વશમાં નહિ થતાં તારો પતિ તને વર્ષ 2027માં દગો દેશે કહી પત્નીનો બ્રેઈન વોશ કર્યો, ભરણપોષણનો કેસ પણ કરાવ્યો

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી તાંત્રિક સતિષ ધામીના ધતિંગે વધું એક પરિવારનો માળો વિંખી નાખ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. તમારા ઘરમાં સારું કરવું હોય તો જંગલમાં એક વિધિ કરવી પડશે કહી ઋત્વિક દેસાઈ નામના યુવાન પાસે રૂ.30 હજાર અને ઘરેણાની માંગણી કરી હતી પરંતુ યુવક વશ ન થતા તાંત્રિકે યુવકની પત્નીનો બ્રેઈન વોશ કરી તારો પતિ તને વર્ષ 2027માં દગો દેશે તેમ કહીં ભરણપોષણનો કેસ પણ કરાવ્યો હતો. ભોગ બનનાર ઋત્વિકભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગઈ તા.10.02.2023ના તેમના લગ્ન થયાં હતા. લગ્ન બાદ દંપતી શાંતિથી લગ્ન જીવન પસાર કરતાં હતાં દરમિયાન સાસુ પ્રભાબેને ત્રણ મહિના બાદ પત્નીને પોતાના ઘરે બોલાવી હતી અને સોનાના દાગીનાની માંગ કરી હતી જેથી યુવકે ગમે તેમ કરી દાગીનાની વ્યવસ્થા કરી આપી હતી. થોડા સમય બાદ ફરીવાર યુવકની પત્નીને સાસુએ પરત બોલાવી મકાનની માંગ કરી હતી જે બાદ યુવકે મકાનની પણ વ્યવસ્થા કરી લઈ પરત પત્નીને તેડી આવ્યો અને અલગ રહેવા લાગ્યો હતો. દરમિયાન પત્ની ગર્ભવતી થઈ હતી ગર્ભને સાત મહિના થતા તે પિયર ગઈ હતી. જે બાદ પુત્રનો જન્મ થયો હતો. પરત પત્નીને તેડવા જતા સાસુએ વધું રૂપીયાની માંગ કરી હતી. આ પછી સતીષ ધામી તેના સાસુના ઘરે આવ્યો ત્યારે યુવકને પણ બોલાવ્યો હતો અને તેની પત્નીને તમારા પગમાં નિશાન છે તેમ કહીં બ્રેઇન વોશ કરી નાંખ્યું હતું. તેમજ યુવકને તમારા ઘરમાં સારું કરવું હોય તો એક વિધિ કરવી પડશે, જે વિધિ જંગલમાં થશે તેમ કહીં રૂ.30 હજારની માંગણી કરી હતી. જે વાતમાં ન આવી યુવકે બે માસ સુધી તેને પૈસા આપ્યાં ન હતાં. દરમિયાન યુવકને તેના સાસુ સતિષ ધામીના ગુંદાવાડીમાં આવેલ મકાને લઈ ગયાં હતાં અને યુવકને ધામીએ તમારી પાસે રહેલ દાગીના અમને સોંપી દો તો તમારું ઘર વ્યવસ્થિત ચાલશે કહ્યું હતું. જો કે યુવકે તેમને ઘરેણાં ન આપતાં પત્નીનો બ્રેઈન વોશ કરી નાંખ્યો હતો દરમિયાન યુવકે ગઈ તા.16.02.2025ના પત્નીને મેસેજ કર્યો કે, તારે પૈસાની જરૂરિયાત હોય તો હું આપી જાવ તેમ કહેતા પત્નીએ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, તેમજ તમે મને પ્રેગ્નેન્સી દરમિયાન માર માર્યો છે, તમે ઘરેણાં નથી આપ્યા એટલે આ બધું થયું છે કહી બોલાચાલી કરી હતી. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, તેને છેલ્લે ત્રણ મહિનાનો તેમનો પુત્ર હતો ત્યારે જોયો હતો જે આજે દોઢ વર્ષનો થઈ ગયો છે, છતાં પણ તેમનું મોઢું પણ જોયું નથી. આપઘાત કરવાના વિચાર આવે છે પરંતુ પુત્રની જિંદગી હેરાન ન થાય તે માટે જિંદગી જીવી રહ્યો છું. આ સતીશ ધામીએ મારા ફુલ જેવા પરિવારના માળાને વિંખી નાખ્યો છે તેમજ તેની પત્નીને સતીષ ધામીએ વર્ષ 2027માં તારો પતિ તને દગો આપશે હેરાન કરી નાંખસે કહીં ફસાવી પણ છે. જે બાદ સસરિયાઓએ તેમના પર ભરણ પોષણનો પણ કેસ કર્યો છે. માટે હવે હું આરોપી સતીષ ધામી સામે ફરિયાદ નોંધાવવા તૈયાર છું.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:50 pm

અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ખિલન પટેલ મોડાસા પરત ફરશે:સોમવારે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાશે

અરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત યાત્રા મોડાસાના APMC સર્કલથી શરૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાની જાહેર જનતાને ઉપસ્થિત રહીને ખિલન પટેલને અભિનંદન પાઠવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:48 pm

વડાળામાં ₹1.70 કરોડના રોડ કામનું ખાતમુહૂર્ત:મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો

પોરબંદર જિલ્લાના વડાળા ગામે ₹1.70 કરોડના ખર્ચે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ થયો. આશરે 4.5 કિલોમીટર લાંબો આ રસ્તો વડાળા ગામના હિંગળાજ મંદિર તરફ જાય છે. તેને મેટલ મોરમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ ₹1 કરોડ 70 લાખ છે. આ નવા રસ્તાથી સ્થાનિકોની સુખાકારીમાં વધારો થશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સંકટના સમયે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમણે ઘેડ વિસ્તાર માટે જળ વ્યવસ્થાપનની મોટી યોજનાઓ અને બરડા સાગર ડેમની પાળ મજબૂત કરવાના કામ પ્રગતિમાં હોવાનું પણ ઉમેર્યું. મંત્રીએ સામાજિક સુધારણા પર ભાર મૂકતા યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા અને બિનજરૂરી ખર્ચ ટાળી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા અપીલ કરી. પર્યાવરણ સુરક્ષા માટે તેમણે ગામમાં 5000 વૃક્ષો વાવવાનું અને તેના ઉછેરનું લક્ષ્ય પણ આપ્યું. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ ખેડૂતોને ખેતીની સાથે પશુપાલન અને નળિયેરીના વાવેતર દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવવા હાકલ કરી. તેમણે જળવાયુ પરિવર્તન સામે રક્ષણ મેળવવા ઓર્ગેનિક ખેતી અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પર ભાર મૂક્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, અગ્રણી આગેવાનો રામદે મોઢવાડિયા, હાથિયા ખુટી, કેશુ ઓડેદરા, ભીમભાઇ, ભુરા કેશવાલા, પ્રતાપ કેશવાલા, સામત ઓડેદરા, વિરમ કારાવદરા સહિત સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:45 pm

પોરબંદરમાં ખેડૂત સંમેલન યોજાયું:કેન્દ્રીય બજેટમાં કૃષિલક્ષી જોગવાઈઓ વિશે અપાઈ માહિતી

પોરબંદર APMC માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા 'બજેટ 2026 ખેડૂત સંમેલન'નું આયોજન કરાયું હતું. કેન્દ્રીય બજેટ 2026-27ની કૃષિલક્ષી જોગવાઈઓ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાના હેતુથી આ સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને બજેટમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે કરાયેલી જાહેરાતો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આ બજેટ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે 'વિકસિત ભારત'ના પાયા મજબૂત કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ પ્રારંભિક ઉદ્બોધનમાં બજેટના વિવિધ પાસાઓ સમજાવ્યા હતા અને તેને સંપૂર્ણપણે ખેડૂતલક્ષી ગણાવ્યું હતું. સંમેલનમાં વક્તાઓએ બજેટની મુખ્ય ખેડૂતલક્ષી જોગવાઈઓ પર ભાર મૂક્યો હતો. જેમાં ખેતીમાં આધુનિકતા લાવવા માટે 'એગ્રીસ્ટેક' અને AI સિસ્ટમ્સનો સમન્વય, નાળિયેર, કાજુ અને કોકોના ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ માટે નવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રાથમિક સહકારી મંડળીઓ દ્વારા પશુ આહાર અને કપાસના બીજ પૂરા પાડવાથી થતી આવકને હવે ટેક્સ કપાત માટે પાત્ર ગણવામાં આવશે. પશુપાલન માટે ખાનગી ક્ષેત્રમાં હોસ્પિટલો અને લેબોરેટરી સ્થાપવા સબસિડી અપાશે. ભારતીય જહાજો દ્વારા પકડાયેલી માછલીઓ પરની ડ્યુટી નાબૂદ કરી નિકાસને વેગ આપવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા, APMC ઉપપ્રમુખ ચંદ્રેશ સામાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય વડુકર, જિલ્લા ઇનચાર્જ દિવ્યેશ સોઢા, સહ-ઇનચાર્જ વિજય ઉનડકટ અને ભાવિક દેવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇનચાર્જ દિવ્યેશ સોઢા, સહ-ઇનચાર્જ વિજય ઉનડકટ અને ભાવિક દેવાણીએ બજેટના આર્થિક અને વ્યૂહાત્મક પાસાઓ વિશે માહિતી આપી ખેડૂતોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:43 pm

વડોદરામાં બિલ્ડરે મહિલાની ખોટી સહી કરીને બે દુકાનો વેચી નાખી:હરણી રોડ પાસે રહેતી મહિલા સાથે છેતરપિંડી, કપુરાઈ પોલીસે આરોપીને ઝડપ્યો

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી ગાંધીપાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો. મહિલાએ અણખોલ વિસ્તારમાં આવેલા કેશવ બ્લીઝ પ્રોજેક્ટમાં બે દુકાનો ખરીદી હતી અને તેના માટે પુરેપુરા રૂપિયા ચૂકવ્યા હતાં. જોકે, બિલ્ડરે તેમની જાણ બહાર તેમની ખોટી સહી કરીને બાનાખત કરાર રદ કરી દીધો અને તે દુકાનો અન્ય બે વ્યક્તિઓને વેચી નાખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના બાદ કપુરાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિલ્ડરની ધરપકડ કરી છે. મહિલાએ બે દુકાનનું બુકિંગ કરાવ્યું હતુંફરિયાદી મહિલા દમયંતી પાંડુભાઇ ગોપાલભાઇ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, નારસોન હાઉસિંગ નામની ભાગીદારી પેઢીના વહીવટકર્તા સુમિત નારાયણ પટેલે 28 જાન્યુઆરી 2022થી 12મે 20222 દરમિયાન તેમને છેતર્યા હતા. તેઓએ કેશવ બ્લીઝમાં દુકાન નંબર 14 અને 15નું બુકિંગ કરાવ્યું હતું અને આરોપીને પુરેપુરો અવેજ આપ્યો હતો. આરોપીએ તેમને કબજા વગરનો બાનાખત કરાર અને એલોટમેન્ટ લેટર આપ્યું હતું. ખોટી સહીઓ કરી અને બાનાખત કરાર રદબાતલ કરી દીધોજોકે, ફરિયાદીની જાણ બહાર આરોપીએ ખોટા દસ્તાવેજ તૈયાર કરીને તેમની ખોટી સહીઓ કરી અને બાનાખત કરાર રદબાતલ કરી દીધો. તે જ દિવસે દુકાન નંબર 15 વરીયા ચંદ્રકાન્ત શંકરલાલ અને વરીયા હિમાંશુકુમાર ચંદ્રકાન્તને કબજા વગરનો નવો બાનાખત કરાર કરી આપ્યો હતો. આમ, બિલ્ડરે ફરિયાદીને મોટી રકમની છેતરપિંડી કરી હતી. બિલ્ડર સુમિત નારાયણ પટેલ ઝડપાયોફરિયાદ નોંધાયા બાદ કપુરાઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી આરોપી સુમિત નારાયણ પટેલને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:39 pm

સુપ્રસિદ્ધ મહુડી જૈન ટ્રસ્ટનો વિવાદ વકર્યો:લેબોરેટરી ટેસ્ટિંગમાં પતરામાં માત્ર 1 કિલો સોનું જ મળી આવ્યું હોવાનો અંકિત મહેતાનો દાવો,100 કિલો સોનાના હિસાબમાં ગોલમાલ થયાનો આક્ષેપ

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્ય અંકિત મહેતાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને અન્ય સભ્યો પર કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને સોનાની ઉચાપતના ગંભીર આક્ષેપો કર્યા છે. 8 લોકોએ ખોટી રીતે પોતાને ટ્રસ્ટી તરીકે ઠરાવી દીધા હોવાનો આક્ષેપઆજે અંકિત મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં PTR (પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર ) પર માત્ર એક જ ટ્રસ્ટી પ્રવીણભાઈ મહેતા હયાત છે. બાકીના તમામ નોંધાયેલા ટ્રસ્ટીઓના અવસાન થઈ ચૂક્યા છે. આ સ્થિતિનો લાભ લઈને ભૂપેન્દ્ર વોરા સહિત 8 વ્યક્તિઓએ ખોટા ઠરાવો અને લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી તરીકે ખપાવી દીધા છે. ચેરિટી કમિશનરે આ બાબતે વાંધા સ્વીકાર્યા હોવાથી તેમના નામ હજુ PTR પર ચઢ્યા નથી. 64 કિલો સોનાનો કોઈ હિસાબ સ્ટોક પત્રકમાં નથીઃ અંકિત મહેતાસૌથી ચોંકાવનારો આક્ષેપ સોનાની ચોરી અંગે કરવામાં આવ્યો છે. અંકિત મહેતાના જણાવ્યા અનુસાર, સંસ્થાના 65 કિલો સોનાનો કોઈ હિસાબ કે સ્ટોક પત્રક નથી. ટ્રસ્ટીઓએ એવો દાવો કર્યો હતો કે આ સોનું મંદિરને સોનાનું મઢવામાં વપરાયું છે, પરંતુ લેબોરેટરી ટેસ્ટિંગમાં પતરામાં માત્ર 1 કિલો સોનું જ મળી આવ્યું છે. બાકીનું 64 કિલો સોનું ક્યાં ગયું? વધુમાં અંકિત મહેતાનો આક્ષેપ છેકે છેલ્લા 50 વર્ષથી દાદાના વરખમાંથી ઉતરતું અંદાજે 100 કિલો સોનું પણ ચોપડે નોંધાયેલું નથી. આક્ષેપ મુજબ, ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ સંસ્થાના નાણાંનો દુરુપયોગ કરી અમદાવાદ અને સુરતમાં કરોડોના બંગલા અને ફ્લેટ ખરીદ્યા છે. આ ઉપરાંત, પોતાની ટ્રાન્સપોર્ટ કંપની મધુપુરી રોડલાઇન્સ માટે દોઢ-દોઢ કરોડના કન્ટેનર ખરીદ્યા છે, જ્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 5 લાખ જેવું જ છે. પવિત્ર સ્થાનની સુખડી બહાર નથી જતી, ત્યાંથી સોનાની ચોરી થયાનો આક્ષેપઅંકિત મહેતાએ જણાવ્યું કે, ન્યાયતંત્ર અને ચેરિટી કમિશનર સમક્ષ 28થી વધુ ફરિયાદો કરવામાં આવી છે. સતત ગેરરીતિઓને પગલે તેમણે ટ્રસ્ટ બંધ કરવાની અરજી કરી છે. આ મામલે સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથે 12-03-2026 ના રોજ કોર્ટ ચુકાદો આપી શકે છે, જેમાં ટ્રસ્ટ સરકારને સોંપવા અથવા બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.જે પવિત્ર સ્થાનની સુખડી બહાર નથી જતી, ત્યાંથી આ લોકો સોનું ચોરી ગયા છે. શ્રદ્ધાળુઓના દાનનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેવો અંકિત મહેતા એ આક્ષેપ સાથે દાવો કર્યો છે. અંકિત મહેતાને મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી- ભૂપેન્દ્ર વોરાઆ અંગે ટ્રસ્ટી ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ કહ્યુ કે અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી. 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે, આજીવન એમનું સભ્યપદ રદ કર્યું છે. એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી. 2023માં એમને મહુડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનરમાં દાખલ કર્યા. ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાઈ આવતા એમણે તપાસ કરી એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:38 pm

બાળકો–યુવાનોમાં વધતો માયોપિયા રોગ ચિંતાજનક:આંખોની દ્રષ્ટિ સંબંધિત વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં AGOS SUMMIT-2026નું આયોજન

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં બાળકો તથા યુવાનોમાં આંખોની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ વધતી જઈ રહી છે. ખાસ કરીને માયોપિયા નામનો રોગ આજે ગંભીર ચેતવણીરૂપ બની રહ્યો છે. આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટી દ્વારા 7 અને 8 ફેબ્રુઆરી, શનિવાર–રવિવારના રોજ અમદાવાદમાં બે દિવસીય ‘AGOS SUMMIT-2026’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને દેશના વિવિધ શહેરોમાંથી 450થી વધુ આંખના રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ ભાગ લીધો હતો. માયોપિયાને કેવી રીતે રોકી શકાય તેના પર ચર્ચા કોન્ફરન્સ દરમિયાન બાળકો અને યુવાનોમાં ઝડપથી વધતા માયોપિયાને કેવી રીતે રોકી શકાય, તેનું વહેલું નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ અને રોકથામના ઉપાયો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે ક્લિનિકલ ડિબેટ્સ, કોન્ટ્રોવર્સી ઇન ઓપ્થેલમોલોજી, ફ્યુચર ઓફ ઓપ્થેલમોલોજી, પ્રેક્ટિસ એન્ડ મેનેજમેન્ટ તેમજ હ્યુમર ઇન ઓપ્થેલમોલોજી જેવા વિષયો પણ ચર્ચાશે. 'બાળકો અને યુવાનોમાં માયોપિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે'ડો. જગદીશ રાણા, માનદ સેક્રેટરી, ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટીએ જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી, મોબાઇલ અને કમ્પ્યુટરનો વધતો ઉપયોગ અને બહાર રમવાની ઘટતી પ્રવૃત્તિના કારણે બાળકો અને યુવાનોમાં માયોપિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે. સમયસર તપાસ અને યોગ્ય જીવનશૈલી દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. માયોપિયામાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે. રસ્તાના બોર્ડ, બ્લેકબોર્ડ અથવા ટીવી સ્પષ્ટ ન દેખાવું, આંખોમાં થાક, માથાનો દુખાવો અને આંખ ચોળવાની આદત તેના મુખ્ય લક્ષણો છે. 15થી 20 ટકા શહેરી બાળકો આ સમસ્યાથી પીડિતગુજરાતના શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં શાળાએ જતાં બાળકોમાં માયોપિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંદાજે 15થી 20 ટકા શહેરી બાળકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આંખના રોગો, રેટિના સંબંધિત સમસ્યાઓ અને દૈનિક જીવનમાં જોખમજો સમયસર સારવાર ન મળે તો માયોપિયા આગળ જઈને ગંભીર આંખના રોગો, રેટિના સંબંધિત સમસ્યાઓ અને દૈનિક જીવનમાં જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે યોગ્ય નંબરના ચશ્મા, નિયમિત આંખની તપાસ, સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરવી, દરરોજ 1 થી 2 કલાક બહાર રમવું અને 20-20-20 નિયમ અપનાવવો અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:34 pm

દ્વારકામાં ઓલ ઈન્ડિયા હેડા ઓર્ગેનાઈઝેશનની ચોથી જનરલ કોન્ફરન્સ:દ્વારકાપ્રસાદજી હેડા રત્ન અને ડો.અતુલ હેડા ગૌરવ બન્યા, સહકરણજી પ્રમુખ બન્યા અને કેદાર હેડા જનરલ સેક્રેટરી બન્યા

ભગવાન કૃષ્ણના પવિત્ર શહેર દ્વારકામાં ઓલ ઈન્ડિયા હેડા ઓર્ગેનાઈઝેશનનું બે દિવસીય ચોથું સામાન્ય સંમેલન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયું. આ સંમેલનમાં ભારત અને વિદેશના સમુદાયના સભ્યોએ સમાજના ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો. મુખ્ય ચૂંટણી અધિકારી કાલુરામ હેડાએ આગામી સત્ર માટે નવી કારોબારી સમિતિની જાહેરાત કરી. કિશનગઢના પ્રખ્યાત માર્બલ ઉદ્યોગપતિ સહસકરણ હેડા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા, અને ઇન્દોરના કેદાર હેડા મહાસચિવ તરીકે ચૂંટાયા. સત્યનારાયણ હેડા (બોરસદ) વરિષ્ઠ ઉપપ્રમુખ, વિષ્ણુચરણ હેડા (કિશનગઢ) ખજાનચી, રામેશ્વર હેડા (જાલોર) સંગઠન મંત્રી અને શ્રીમતી સુભદ્રા હેડા મહિલા સેલ પ્રમુખ તરીકે ચૂંટાયા. દ્વારકાપ્રસાદ હેડાનું હેડા રત્ન અને ડૉ. અતુલ હેડાને હેડા ગૌરવથી સન્માનસમારોહમાં, સમુદાયના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હેડા રત્ન અને હેડા ગૌરવ પુરસ્કારો અને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે વિશેષ સન્માન આપવામાં આવ્યા. રાજસ્થાનના દેગાનાના દ્વારકાપ્રસાદ હેડાને ગાયોની સેવા, સનાતન ધર્મ અને ભવ્ય મંદિરના નિર્માણ માટે હેડા રત્ન એનાયત કરવામાં આવ્યો હતો, અને ભીલવાડાના બાળરોગ નિષ્ણાત ડૉ.અતુલ હેડાને જાહેર કલ્યાણ અને આરોગ્ય જાગૃતિમાં તેમના કાર્ય માટે હેડા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનારા 15 સભ્યોને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને નાણાકીય સહાય પૂરી પાડનારા 50 સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શંકરલાલજી હેડા (ગોવા)એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થાના દરેક સભ્યએ પોતાના અંગત જીવન અને વ્યવસાયમાંથી સમય કાઢીને સમાજના હિત માટે કામ કરવું જોઈએ. તેમણે નેતાઓને સમાજના દરેક સભ્યને સંગઠન સાથે જોડવા અને સામાજિક દુષણો અને દંભથી મુક્ત થવા હાકલ કરી, જેથી આગામી પેઢીને સ્વચ્છ વિચારો અને રાષ્ટ્ર માટે સમર્પિત કાર્યકરો પ્રદાન કરીને એક મજબૂત અને શક્તિશાળી ભારતનું નિર્માણ કરી શકાય. કાલુરામજી હેડા (નડિયાદ), અશોકજી હેડા (વસીમ), અને કમલજી હેડા (ભીવંડી)એ પણ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે સંબોધન કર્યું. સેવા અને સમર્પણની સિદ્ધિઓસંગઠન પ્રમુખ પ્રહલાદજી હેડા (નડિયાદ)એ જણાવ્યું કે સંસ્થા જરૂરિયાતમંદ પરિવારોને નાણાકીય સહાય, વિધવાઓને માસિક પેન્શન અને તબીબી સહાય પૂરી પાડે છે. પ્રાથમિક ઉદ્દેશ્ય પરિવારોને આત્મનિર્ભર બનાવવાનો છે; હાલમાં, 20 પરિવારો માસિક પેન્શન મેળવી રહ્યા છે. મહાસચિવ ડૉ. જી.એલ. હેડા (નવી દિલ્હી) એ માહિતી આપી કે હાલમાં સંસ્થા સાથે આશરે 900 સભ્યો જોડાયેલા છે, જેમાં ભારત, અમેરિકા, નૈરોબી, દુબઈ અને નેપાળના સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે અસાધારણ સેવા આપનારાઓનું દર ત્રણ વર્ષે સન્માન કરવામાં આવે છે. સંગઠનના હિસાબ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓખજાનચી તુલસીરામ હેડા (સુરત)એ છેલ્લા ત્રણ વર્ષનો હિસાબ રજૂ કર્યો, જેને બધાએ સર્વાનુમતે સ્વીકાર્યો. વરિષ્ઠ ઉપપ્રમુખ રામપ્રસાદ હેડા (શાહપુરા)એ સમજાવ્યું કે આશરે 600 સભ્યોના સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સભ્યોએ દ્વારકાધીશ, બેટ દ્વારકા, નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી. પ્રખ્યાત ભજન ગાયક ઋષિ કુમાર અને કોલકાતા સ્થિત ભજન ગાયક મારુતિ મોહતાએ પરિષદમાં મંત્રમુગ્ધ કરનાર ભજન રજૂ કર્યા. કાર્યક્રમનું સંચાલન મહિલા સંગઠનના પ્રમુખ સુનિતા હેડા (જોધપુર) અને મંત્રી સુભદ્રા હેડા (શાહપુરા) દ્વારા કરવામાં આવ્યું હતું. ભવિષ્ય માટે 5 મુદ્દાની કાર્ય યોજનાનવચૂંટાયેલા પ્રમુખ સહસકરણ હેડાએ યુવાનો માટે નવીન વ્યવસાય કાર્યક્રમો, સભ્યપદ અભિયાન, આત્મનિર્ભરતા માટે અંત્યોદય યોજના, સંગઠન સંભારણું અને આરોગ્ય જાગૃતિ અભિયાન શરૂ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા પાંચ-મુદ્દાની કાર્ય યોજના રજૂ કરી. અંતે, નવા ચૂંટાયેલા મહામંત્રી કેદાર હેડા (ઇન્દોર)એ બધા મહેમાનો, દાનવીરો અને સભ્યોનો આભાર માન્યો અને ભવિષ્યમાં સર્જનાત્મક અને જન-મૈત્રીપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:34 pm

'NCC માત્ર સંસ્થા નહિ, એકતા અને અનુશાસનની જીવનશૈલી છે':ગાંધીનગરમાં એટ હોમ સેરેમનીમાં CM ભૂપેન્દ્ર પટેલ, 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત

નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રજાસત્તાક દિવસની પરેડ અને પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ–2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરનારા ગુજરાતના NCC કેડેટ્સનું ગાંધીનગરમાં લોકભવન ખાતે યોજાયેલી એટ હોમ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે NCC માત્ર એક સંસ્થા નથી, પરંતુ યુવાનોમાં એકતા, અનુશાસન અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને જીવનમાં ઉતારતી આદર્શ પાઠશાળા છે. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટે પરેડ ને ગાર્ડ ઓફ ઓનરનવી દિલ્હી ખાતે યોજાયેલા RDC-2026માં ભાગ લઈ ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટે પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિસ્ત અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત ફરેલી આ ટીમે રાજ્યનું ગૌરવ વધાર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયતસમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 9 NCC કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ‘કેડેટ જર્નલ–2026’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત NCCની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આ વર્ષે ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર NCC રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું. NCC કેડેટ્સની ભૂમિકા પ્રશંસનીય મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે NCC દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને દેશપ્રેમના ભાવ સાથે સશક્ત બનાવે છે. આપત્તિના સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ અને રક્તદાન જેવી પ્રવૃત્તિઓમાં NCC કેડેટ્સની ભૂમિકા પ્રશંસનીય રહી છે. દેશના યુવાનો એકસાથે તાલીમ લઈ રાષ્ટ્રધ્વજ હેઠળ ઊભા રહે છેતેમણે ઉમેર્યું હતું કે NCC કેડેટ્સ પોતાના વર્તન, યુનિફોર્મ, સમયપાલન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા સમાજને શિસ્તનો જીવંત પરિચય આપે છે. જ્યારે સમગ્ર દેશના યુવાનો એકસાથે તાલીમ લઈ રાષ્ટ્રધ્વજ હેઠળ ઊભા રહે છે ત્યારે રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બને છે. NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયર તથા મોટી સંખ્યામાં NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા એન.સી.સી. ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ બિમલ મોંગાએ રાજ્યમાં ચાલી રહેલી NCC પ્રવૃત્તિઓની વિગતો રજૂ કરી અને આ પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા માટે રાજ્ય સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદ NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયરઓ તથા મોટી સંખ્યામાં NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:28 pm

બેટા મને માફ કરજે કહી પિતાએ ફોન કાપી નાખ્યો:વ્યાજખોરોએ મારી જમીન પડાવી, ગોડાઉન છીનવી લીધું અને ચેક લઇ લીધાની સ્યુસાઇડનોટ લખી કેટરિંગના ધંધાર્થીએ કર્યો આપઘાત

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટના કેટર્સના ધંધાર્થી બિપીનભાઈ પાંભરએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બિપિનભાઈએ તેમના પુત્રને ફોન કરી મને માફ કરજે હું દવા પિવ છું કહેતા પુત્રએ દાદાને જાણ કરી પિતાને ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના કબ્જામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે મરવા મજબુર કરવા તેમજ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે રહેતા 69 વર્ષીય વૃદ્ધ લક્ષ્મણભાઇ પાંચાભાઈ પાંભરે મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ભરતસિંહ સોલંકી, મોટાવડાના મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજા, મુંજકાના વિનુ મેત્રા, નાના ઇટાળાના પ્રવિણસિંહ(હાલ મૃત)નું નામ આપતાં જણાવ્યું હતું કે, દિકરો બીપીન કેટરીંગનું કામ કરતો હતો. બીપીનભાઈના પત્નિ કંચનબેન આશરે દોઢેક વર્ષ પહેલા કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલ છે. તેને સંતાનમાં એક દીકરો ધ્રુવીન છે, જે પ્રાઈવેટ નોકરી કરે છે અને પત્નિ સાથે રાજકોટ રહે છે. ગત તારીખ 05.02.2026ના રોજ સવારના 11.30 વાગ્યે હું મારી પાંભર ઈટાળા રોડ પર લેકવ્યુ રિસોટની બાજુમાં આવેલ વાડીએ હતો ત્યારે મને મારા પૌત્ર ધ્રુવીનનો ફોન આવ્યો હતો કે, પપ્પાનો મારામાં ફોન આવ્યો છે અને મને કહેતા હતા કે મને માફ કરી દેજો, હું દવા પી જાવ છુ. જેથી મેં તરત જ મારા દિકરા બીપીનને ફોન કરતા તેને મારો ફોન ઉપાડ્યો ન હતો જેથી મે અમારી ગાડીનું ડ્રાઇવીંગ કરતા વિક્રમને સાથે લઇ રાજકોટ આવવા નીકળી ગયો હતો દરમિયાન મારા દિકરાનું કેટરીંગનું કામ કરતા બીટુટુ નામનો છોકરો મને મારા દીકરાની વેન્યુ ગાડી લઇને સામે મળ્યો હતો તેમાં મારો દિકરો બીપીન પાછળની શીટમાં સૂતો હતો. મારી ગાડી ત્યાં રોડ ઉપર રાખી વેન્યુ ગાડીમાં બેસી અને જોયું તો મારો દીકરો બિપિન અર્ધ બેભાન હાલતમાં હતો અને મારી હોજરી ફાટે છે મને પાણી આપો તેમ કહેતો હતો. જેથી મે બીપીનને પૂછયું કે, તે શું કામ આવું પગલું ભર્યું છે તો મારા દિકરાએ પોતાના શર્ટના ખીસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને મને આપી હતી જે મે વાંચતા તેમાં લખ્યું હતુ કે, ’વ્યાજવાળાના ત્રાસથી મારે દવા પીવી પડશે, એને મારા છોકરાના ચેક લીધેલ છે, 5 ટકા વ્યાજે પૈસા આપેલ છે, ભરતસીંહ સોલંકી, મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજાએ મને બોવ ત્રાસ આપ્યો છે. મારા છોકરાનુ ધ્યાન રાખજો, મારી જમીન વ્યાજમા વીનુ મેત્રાએ લઈ લીધી, મારૂ ગોડાઉન પ્રવીણસિંહે લઈ લીધુ’ તેમ લખ્યું હતુ. દરમિયાન મારા પુત્ર બિપીને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ મેં તરત જ પૌત્ર ધ્રુવિનને ફોન કરી બિપીનને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે લઇ જવા વાત કરી તાત્કાલિક વેન્યુ કારમાં અમે ખાનગી હોસ્પિટલ જવા નીકળ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ મેટોડા GIDC પોલીસે ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:22 pm

રિવાબાએ અંજલિબેન રૂપાણીને બોલાવી સ્ટેજ પર બેસાડ્યા, દીપ પ્રાગટ્ય કરાવડાવ્યું:રાજકોટ ભાજપમાં જૂથબંધી વચ્ચે શિક્ષણમંત્રીએ બધાને ચોંકાવ્યા, અમૂકના ભવાં ઉંચા થઈ ગયા

રાજકોટમાં આયોજીત બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર હોય અને અન્ય લોકોની સાથે સ્ટેજ નીચે બેસ્યા હોય રિવાબાએ તેઓને સ્ટેજ પર બોલાવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. રાજકોટ ભાજપની જૂથબંધીની વચ્ચે આ ઘટનાના કારણે ઉપસ્થિત સૌ કોઈના ભવાં ઉંચા ચઢી ગયા હતા. અંજલિબેન સ્ટેજ નીચે બેસ્યા હોય ઉપર બોલાવી દીપ પ્રાગટ્ય કરાવડાવ્યુંબજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. અંજલિબેન રૂપાણી સ્ટેજની નીચે બેસ્યા હોય રિવાબાએ કાર્યક્રમની શરૂઆતમાં જ તેઓને ઉપર બોલાવ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. અંજલિબેનની સાથે સ્ટેજ નીચે બેસેલા પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. રિવાબાએ સ્વાગત પ્રવચનમાં 'દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ...' ગીત લલકાર્યુંતાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રયી બજેટના સંદર્ભમાં રાજકોટ ભાજપ દ્વારા બજેટ મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. સ્વાગત પ્રવચન દરમિયાન રિવાબા જાડેજાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે...ગીતની પંક્તિ લલકારી હતી. કેન્દ્રીય બજેટને લઈ મહિલાઓ સાથે સંવાદ કરાયોગુજરાતના લોકોને બજેટમાં શું ફાયદો મળવાનો છે તે અંગે રિવાબાએ જણાવ્યુ કે, નિર્મલા સીતારામ દ્વારા સતત નવમી વખત નાણા બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. 53.05 લાખ કરોડના આ બજેટમાં માતૃશક્તિ, યુવા શક્તિ ઉપરાંત કિશાન, ઉદ્યમી અને MSME ઉદ્યોગકારોના વિકાસનો સમાવેશ થયો છે.શિક્ષણ, આરોગ્ય, MSME સેક્ટરમાં બહેનોનું યોગદાન કઈ રીતે વધે અને દેશના વિકાસમાં બહેનો કઈ રીતે સહભાગી બની શકે તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ કરવામાં આવી છે. MSME સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 7 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. WHO ના સેન્ટરને અપગ્રેડ કરાશે. ગિફ્ટ સિટીમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલી ડે લંબાવવામાં આવ્યો છે. જેના પરિણામો ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે. 5 લાખથી વધુ વસ્તી વાળા શહેરોને સીટી ઇકોનોમિક રીજન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન માટે 42,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. PM શ્રી યોજના અંતર્ગત રૂ.7500 કરોડની જોગવાઈ થઈ છે. ગુજરાતમાં વેરાવળને કેન્દ્રીય વિદ્યાલયની ભેટ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તેમણે જણાવ્યું કે, કેન્સર વિરોધી 17 દવાઓની કસ્ટમ ડ્યુટી હટાવી લેવામાં આવી છે. જેનાથી કેન્સર જેવી બીમારીઓનો સારવારનો ખર્ચ ઘટી જશે. ગુજરાતમાં 87 અમૃત રેલવે સ્ટેશન અંતર્ગત આધુનિકીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે પાકા આવાસની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ રૂપાણીની અંતિમયાત્રામાં થયેલો ખર્ચ ભાજપે પરિવારના માથે ઢોળ્યો વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાત નથીઃ રિવાબા જાડેજાકોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે, વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી. પોકળ દાવાઓ અને ખાલી વાતોથી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે લોકોને પ્રધાનમંત્રી પર પૂરો ભરોસો છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની સંકલ્પના માટેનું ખૂબ સારું બજેટ રજૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:19 pm

'ઓપરેશન મ્યુલ હંટ'માં એક આરોપીની ધરપકડ:પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ‘વર્ક ફ્રોમ હોમ’ની લોભામણી લાલચથી પૈસા પડાવાતાં, 66.72 લાખના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

ગુજરાતમાં સાયબર ગુનાખોરી ડામવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત વલસાડ જિલ્લા સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે 66.72 લાખના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. I4Cની બાતમીથી ફૂટ્યો ભાંડોનવી દિલ્હી સ્થિત ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા વલસાડ પોલીસને કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ વિગતોના આધારે DySP ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા કરોડોના ટ્રાન્ઝેક્શન ધરાવતા ‘મ્યુલ એકાઉન્ટ’ની કડીઓ મળી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાં મેળવવા અને અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે થતો હતો. એક ઝડપાયો, મુખ્ય સૂત્રધારની શોધખોળપોલીસે આ મામલે મગોદના રહેવાસી અયુબ કાદરભાઈ શેખની ધરપકડ કરી છે. અયુબના બેંક ખાતાનો ઉપયોગ ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પારનેરાનો મિતેશ દીપકભાઈ પટેલ છે. મિતેશ મ્યુલ એકાઉન્ટમાં આવતા નાણાં પોતાના અને પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચરતો હતો. હાલ મિતેશ પટેલ ફરાર હોવાથી તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રોકાણ અને નોકરીની લાલચ આપી છેતરપિંડીસાયબર ઠગો સામાન્ય નાગરિકોને પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી લોભામણી લાલચો આપીને જાળમાં ફસાવતા હતા. વલસાડ સાયબર ક્રાઈમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 66,72,095 ની રકમ ફ્રીઝ કરાવી રિકવર કરવામાં સફળતા મેળવી છે. પોલીસની જાહેર જનતાને અપીલઅજાણી વ્યક્તિની લાલચમાં આવી બેંક ખાતાની વિગતો શેર ન કરવી કે ખાતા ભાડે ન આપવા. સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત 1930 હેલ્પલાઈન અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:15 pm

ગુજરાત ટાઇટન્સે આણંદમાં 'જુનિયર ટાઇટન્સ'નું આયોજન કર્યું:આઈ.બી.પટેલ સ્કૂલ ખાતે 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગુજરાત ટાઇટન્સે શનિવારે આણંદની આઈ.બી. પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં 'જુનિયર ટાઇટન્સ'ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારોની 20 સરકારી અને ખાનગી શાળાઓમાંથી લગભગ 1,000 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આણંદ તબક્કામાં યોજાયેલા આ કાર્યક્રમને બાળકો માટે આનંદદાયક અને આવકારદાયક અનુભવ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ પ્રવૃત્તિ-આધારિત સેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે બાળકોને દબાણમુક્ત વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ કરવા, રમવા અને રમતગમત સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 'લેટ્સ સ્પોર્ટ આઉટ'ની ભાવનાને સાર્થક કરતા, 'જુનિયર ટાઇટન્સ'ને એક બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવ્યો છે જે સમાવેશકતા અને ભાગીદારીને પ્રાથમિકતા આપે છે. તે બાળકોમાં નાની ઉંમરથી જ આત્મવિશ્વાસ, ટીમવર્ક અને સકારાત્મક જીવનશૈલીની આદતો કેળવવા માટે રમતગમતનો એક મંચ તરીકે ઉપયોગ કરે છે. પ્રથમ બે આવૃત્તિઓ દરમિયાન, આ પહેલ સમગ્ર ગુજરાતના 10,000થી વધુ બાળકો સુધી પહોંચી હતી, જેણે ફ્રેન્ચાઇઝીને અમદાવાદ સિવાયના શહેરોના લોકો સાથે અર્થપૂર્ણ જોડાણ સાધવામાં મદદ કરી છે. કાર્યક્રમના અંતે ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદરસિંઘે જણાવ્યું હતું કે, અમે જે પણ શહેરમાં જઈએ છીએ ત્યાંની એક આગવી ઊર્જા હોય છે, અને આણંદમાં પણ એવો જ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. બાળકો અને શાળાઓએ દાખવેલા જોશ અને ઉત્સાહ એ વાતની પુષ્ટિ કરે છે કે જુનિયર ટાઇટન્સ જેવી પહેલ શા માટે મહત્વની છે. અમારું ધ્યાન રમતગમતના સરળ અને આનંદપ્રદ અનુભવોના નિર્માણ પર છે જે બાળકોને સક્રિય રહેવા અને આઉટડોર રમતો સાથે સ્વાભાવિક જોડાણ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જુનિયર ટાઇટન્સના આણંદના આ કાર્યક્રમ બાદ, વર્તમાન આવૃત્તિનો અંતિમ તબક્કો 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે, જે સાથે આ પહેલની પૂર્ણાહુતિ થશે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:08 pm

કોંગ્રેસ આગેવાને મહેસાણા મનપામાં સ્વયંસેવક તરીકે જોડાવા ઈચ્છા વ્યક્ત કરી:ટ્રાફિક નિયમન અને સફાઈ કામગીરીમાં જોડાવા તંત્ર પાસે ભૌતિક ભટ્ટે માંગી મંજૂરી

​મહેસાણા શહેરના વિકાસ અને વ્યવસ્થામાં સહભાગી થવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાન ભૌતિક ભટ્ટે વહીવટી તંત્ર સમક્ષ અનોખી રજૂઆત કરી છે. તેમણે મહાત્મા ગાંધીના સફાઈ અભિયાનના મંત્રને સાર્થક કરવા અને શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થવા માટે સ્વયંસેવક તરીકે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સફાઈ કામદારો સાથે 10 દિવસ કામ કરવા માંગભૌતિક ભટ્ટે મહાનગરપાલિકા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ શહેરના કોઈ પણ એક વોર્ડમાં સફાઈ કામદારો સાથે 10 દિવસ સુધી કામ કરવા માંગે છે. વિશેષ બાબત એ છે કે આ 10 દિવસના કામ પેટે એક સફાઈ કામદારને જે મહેનતાણું ચૂકવવામાં આવતું હોય, તેટલી રકમ તેઓ પોતાના ખર્ચમાંથી કોર્પોરેશનમાં જમા કરાવશે. ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે સ્વયંસેવક તરીકે જોડાવા ઈચ્છા દર્શાવીઆ ઉપરાંત તેમણે જિલ્લા પોલીસ વડાને પણ પત્ર પાઠવીને રાધનપુર સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે ધ્યાન દોર્યું છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે રાધનપુર રોડ તથા અંડરપાસથી આવતા વાહનોને કારણે સર્જાતી જામની સ્થિતિમાં ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે તેમણે 10 દિવસની માનદ સેવા આપવાની માંગ કરી છે. કામગીરીમાં જોડાવા મંજૂરી મળશે કે નહીં?રાધનપુર સર્કલ પર સિગ્નલ નાખ્યા હોવા છતાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા તેઓ પોલીસ જવાનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવા તૈયાર છે. જોકે મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ આગેવાન 10 દિવસ માટે આ કામગીરીમાં જોડાશે કે નહીં એ જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:07 pm

સેક્ટર-29 સ્થિત જલારામ મંદિરમાં વહેલી સવારે આગની ઘટના:શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન, ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ગાંધીનગરના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા સેક્ટર-29 સ્થિત જલારામ મંદિરના પરિસરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી. જલારામ મંદિરના પાછળના ભાગે આગ લાગીઆજે વહેલી સવારે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું. ત્યારે 4:04 કલાકે ઇમરજન્સી સેવા 112 મારફતે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે,જલારામ મંદિરના પાછળના ભાગે આગ લાગી છે. અને ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા સમજી તુરંત કાર્યવાહી હાથ ધરી માત્ર બે જ મિનિટમાં એટલે કે 4:06 કલાકે ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. આગ ભભૂકી ઉઠી ને સામાન અને અન્ય સામગ્રી લપેટમાં આવીમળતી માહિતી મુજબ જલારામ મંદિરના પાછળના ભાગે આવેલા પ્રથમ માળ પર કુલ 4 રૂમો બનાવવામાં આવેલા છે. આ રૂમોમાં મંદિરમાં સેવા-પૂજા અને સફાઈનું કામ કરતા કર્મચારીઓ વસવાટ કરે છે. આ પૈકી મંદિરની સાફ-સફાઈની જવાબદારી સંભાળતા સીતાબેન મારવાડીના રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રૂમમાં રહેલો સામાન અને અન્ય સામગ્રી લપેટમાં આવી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન, કોઈ જાનહાનિ થઈ નથીસદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારનો સમય હોવાથી અને મંદિરના અન્ય ભાગો સુધી આગ ન પહોંચતા ટ્રસ્ટીઓ અને ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 7:00 pm

શહેરામાં શિક્ષિકા પર વિદ્યાર્થી દ્વારા હુમલાનો મામલો:શૈક્ષિક મહાસંઘે કલેક્ટર, SPને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી

પંચમહાલ જિલ્લાના શહેરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરાની એસ. જે. દવે હાઈસ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને શૈક્ષિક મહાસંઘે કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી મોડો આવ્યો હતો. શિક્ષિકાએ તેને મોડા આવવાનું કારણ પૂછતાં વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જાહેરમાં મહિલા શિક્ષિકાને થપ્પડ મારી અને ધક્કો માર્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, પંચમહાલ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મહાસંઘે આ ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:59 pm

મહેસાણાના વિસનગર રોડ પર પલ્સર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા:લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ને અકસ્માત થયો, અકસ્માત સર્જી ચાલક ફરાર

મહેસાણાના વિસનગર રોડ પર પૂરપાટ ઝડપે જતી એક બાઇકે રાહદારી વૃદ્ધને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 72 વર્ષીય વૃદ્ધને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. અકસ્માત સર્જ્યા બાદ પલ્સર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જેની સામે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર રોડ પર પલ્સર ચાલકે વૃદ્ધને અડફેટે લીધામહેસાણાના વિસનગર રોડ પર આવેલ હેરિટેજ બંગલોઝમાં રહેતા કિરીટભાઈ ચૌધરીના પિતા હીરજીભાઈ માવજીભાઈ ચૌધરી (ઉં.વ. 72) શુક્રવારે બપોરે બારેક વાગ્યાના સુમારે વિસનગર રોડ પર ધરતી બંગલોઝ પાસેથી પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન મહેસાણાથી વિસનગર તરફ જતી બજાજ પલ્સર મોટરસાયકલ GJ-02-DR-1402 ના ચાલકે પોતાના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી હીરજીભાઈને અડફેટે લીધા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ને અકસ્માત થયોઅકસ્માત સર્જાયાના થોડી જ વારમાં ઈજાગ્રસ્ત હીરજીભાઈના પુત્રવધૂ ભારતીબેન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. સોસાયટી પાસે ઉતરેલા ભારતીબેને ભીડ જોઈ તપાસ કરતા તેમના સસરા લોહીલુહાણ હાલતમાં રોડની સાઈડમાં પડ્યા હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વૃદ્ધને ગંભીર ઈજા થતાં ICUમાં સારવાર હેઠળઅકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે હીરજીભાઈ હાલમાં મહેસાણાની દીપ ICU હોસ્પિટલમાં દાખલ છે. તેઓ હાલમાં બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.પુત્ર કિરીટભાઈએ આ મામલે પલ્સર નંબર GJ-02-DR-1402 ના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:56 pm

આણંદમાં પ્રથમ ફ્લાવર શોનું લોકાર્પણ:બોરસદ ચોકડી પાસે કોસમોસ વેલી શહેરીજનો માટે ખુલ્લી મુકાઈ

આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજ પાસે તૈયાર કરાયેલી કોસમોસ વેલી (ફ્લાવર શો)નું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને તેનું ઉદ્ઘાટન કરાયું હતું. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરી અને કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આ ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્થળ બાળકો અને તમામ નાગરિકો માટે અત્યંત સુંદર અને આકર્ષક બનશે, જ્યાં કુદરતી સૌંદર્યની સાથે ફૂડ ઝોનમાં વિવિધ વાનગીઓનો પણ આનંદ માણી શકાશે. આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ કોસમોસ વેલીના સુંદર આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી 'વિકસિત ભારત'ની ઝલક અહીં જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, શહેરીજનો માટે આ એક ઉત્તમ આનંદ-પ્રમોદનું સ્થાન બનશે. સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોની વિકાસની અપેક્ષાઓ પૂર્ણ કરવાની દિશામાં આ એક પ્રયાસ છે. આ કોસમોસ વેલી દ્વારા સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓને ફરવા માટે સુંદર અને ઉલ્લાસભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે 'સરદાર ૧૫૦' અને 'વિકસિત ભારત'ની થીમ સાથે નિર્મિત આ પ્રોજેક્ટની મુલાકાત લેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. લોકાર્પણ બાદ મંત્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર હાજર બાળકો સાથે સંવાદ કર્યો હતો. મંત્રી, સાંસદ અને ધારાસભ્યએ કોસમોસ વેલીની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રજાતિના પુષ્પોનું પ્રદર્શન નિહાળી આયોજનની સરાહના કરી હતી. ઉપરાંત, વેલીમાં સ્થાપિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:51 pm

ચાંદખેડાની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ:પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા ગાંધીનગર પોક્સો કોર્ટનો આદેશ

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 13 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનામાં કોર્ટે આરોપીને રૂ. 30 હજારનો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 13 વર્ષ અને 8 માસની સગીરાનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માની કોર્ટે આરોપી કાંતી ઉર્ફે ચેતન નેત્રપાલ શર્માને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર બાળકીના પુનર્વસન માટે તેને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ને કુકર્મ કર્યુંઆ કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરનો વતની આરોપી કાંતી શર્મા મોટેરા સ્ટેડિયમ પાસે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવીને ડિસેમ્બર 2021માં અપહરણ કરી તેના વતન લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની નાની ઉંમર હોવા છતાં તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ગાંધીનગર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂઆ મામલે બાળકીના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને ગાંધીનગર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 20 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દીધોકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ ધારદાર રજૂઆત કરી હતી કે આરોપીએ સગીર બાળકી પર આચરેલું કૃત્ય અત્યંત ઘૃણાસ્પદ છે. સમાજમાં આવા ગુનાઓ વધતા જાય છે ત્યારે અન્ય લોકો માટે દાખલો બેસે અને ગુનેગારોમાં ફાળ પડે તે હેતુથી આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:50 pm

કરોડોની ઉચાપત મામલે જૂનાગઢની મંડળીના પૂર્વ મંત્રી સામે ફરિયાદ:જુથળ મંડળીના રેકોર્ડમાં ચેડા કરી 2 કરોડથી વધુની ઉચાપત, આઠ મહિના પહેલા ભાસ્કરે અહેવાલ રજૂ કર્યો હતો

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામની સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રી કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજીયા વિરુદ્ધ કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ અને ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. મંડળીના વર્તમાન પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, આરોપી મંત્રીએ વર્ષ 2009થી 2024 દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખેડૂતો અને મંડળી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મંડળીના રેકોર્ડમાં છેડા કરી ખોટા હિસાબ રજૂ કર્યાજિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિમણૂક કરાયેલા તપાસ અધિકારીના અહેવાલ બાદ આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી મંત્રીએ મંડળીના રેકોર્ડમાં છેડા કરીને અને ખોટા હિસાબો રજૂ કરીને કુલ ₹2,09,49,609 જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાનું ખુલતા પોલીસે આઈપીસીની વિવિધ કલમો તેમજ સહકારી ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં લીધાઆરોપી મંત્રીએ કરેલી ઉચાપત કોઈ એક રીતે નહીં પરંતુ અનેક સ્તરે ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મુખ્યત્વે રોકડ સિલકમાં ₹59.42 લાખની ઘટ જોવા મળી છે, જે નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે મંત્રીએ અંગત ઉપયોગમાં લીધા હતા. આ ઉપરાંત, મંડળીના સ્ટોક રજિસ્ટર મુજબ ₹26.78 લાખનું ખાતર કાગળ પર હતું પણ વાસ્તવમાં ગાયબ હતું. ખેડૂતોની 30 લાખની ફિક્સ ડિપોઝિટ મંત્રી ચાઉં કરીખેડૂતોને કરેલા ધિરાણમાં પણ ₹70.67 લાખની ગેરરીતિ આચરવામાં આવી હતી, જેમાં કાર્યક્ષેત્ર બહારના લોકોને લોન આપવી અને ઉઘરાણીના નાણાં ખિસ્સામાં મૂકી દેવા જેવા કૃત્યો સામેલ છે. મંડળીમાં ખેડૂતો દ્વારા મુકવામાં આવેલી ₹30.44 લાખની ફિક્સ ડિપોઝિટ પણ મંત્રી ચાઉં કરી ગયા હતા. આ સિવાય બેંક ખાતાના વ્યવહારો અને અંગત લોન મળીને કુલ બે કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરે આઠ મહિના અગાઉ ખેડૂતોની વેદનાને વાચા આપી હતીઆ મામલે આઠ મહિના અગાઉ તારીખ 8 જૂન 2025ના રોજ દિવ્ય ભાસ્કર દ્વારા વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જુથળ મંડળીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ઉજાગર કરવામાં આવ્યા હતા. તે સમયે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે 21 જેટલા ખેડૂતોની આજીવન મૂડી સમાન ફિક્સ ડિપોઝિટ ખવાઈ ગઈ છે. તિજોરીમાં એકપણ રૂપિયો નહીં અને કાગળ પર લાખોની સિલકભાસ્કરના તે અહેવાલમાં જણાવાયું હતું કે, ઓડિટ દરમિયાન મંડળીની તિજોરીમાં એક પણ રૂપિયો ન હોવાની વાત સામે આવી હતી. જ્યારે કાગળ પર લાખોની સિલક બોલતી હતી. તે સમયે ખેડૂતો ભારે આક્રોશમાં હતા અને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી તેઓએ આત્મહત્યા સુધીના પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જે સમગ્ર કૌભાંડની ગંભીરતા દર્શાવતું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ​મંત્રીની મનસ્વી કામગીરી અને ખેડૂત સભાસદો સાથે છેતરપિંડીમંત્રી કાંતિ હિંગરાજીયા મંડળીનો તમામ વહીવટ સંભાળતા હોવાથી તેઓએ ખેડૂતોના વિશ્વાસનો ઘાત કર્યો હોવાનું ફરિયાદમાં સ્પષ્ટ થાય છે. ખેડૂતો પાસેથી લોન ભરપાઈના નાણાં વસૂલ્યા બાદ તેમને પાકી પહોંચ તો આપી દેવામાં આવતી, પરંતુ તે નાણાં મંડળીના ચોપડે જમા કરવાને બદલે મંત્રી બારોબાર વાપરી નાખતા હતા. ખેડૂતોના નામે ખોટા ધિરાણ મેળવી મંત્રીએ નાણાં ઉપાડી લીધા ઘણા કિસ્સામાં ખેડૂતોના નામે ખોટા ધિરાણ મેળવીને મંત્રીએ પોતે નાણાં ઉપાડી લીધા હતા. જમીનના રેકોર્ડ પર બોજા નોંધાવવાની તકેદારી પણ રાખવામાં આવી નહોતી, જેના કારણે મંડળીની આર્થિક સ્થિતિ કથળી હતી. એપ્રિલ 2024માં મંત્રી કોઈને કહ્યા વગર ફરાર થઈ ગયા બાદ જ્યારે નવો વહીવટ આવ્યો ત્યારે આ સમગ્ર કૌભાંડની સ્તરવાર વિગતો બહાર આવવા માંડી હતી. ​થાપણદારોની રકમ અને ખાતરના સ્ટોકમાં થયેલી ગેરરીતિમંડળીમાં ખેડૂતો દ્વારા મુકવામાં આવતી નાની-મોટી થાપણોમાં પણ મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. અંદાજે 23 જેટલા થાપણદારોની રકમ મંડળીના સરવૈયામાં જમા લેવામાં જ નહોતી આવી. મંત્રીએ ખેડૂતોને મંડળીના નામે રસીદો આપી દીધી પણ નાણાં પોતાની પાસે રાખી લીધા હતા. આ સાથે જ રાસાયણિક ખાતરના વિતરણમાં પણ મોટું કૌભાંડ આચર્યું હતું. સરવૈયા મુજબ લાખો રૂપિયાનું ખાતર સ્ટોકમાં હોવું જોઈએ, પરંતુ ભૌતિક તપાસમાં ગોદામ ખાલી જોવા મળ્યું હતું. ખાતર વેચીને આવેલા નાણાં મંડળીના બેંક ખાતામાં જમા કરાવવાની જવાબદારી મંત્રીની હતી, જેમાં તેમણે નિષ્ફળ જઈને અંગત સ્વાર્થ માટે નાણાંનો વ્યય કર્યો હોવાનું તપાસમાં ફલિત થયું છે. પોલીસે પૂર્વ મંત્રી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીજુથળ મંડળીના આ પ્રકરણમાં જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી કલમ-86 હેઠળ ચોકસી કરવામાં આવી હતી અને ત્યારબાદ કલમ-93 હેઠળ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં નોંધાયેલી ફરિયાદમાં માત્ર પૂર્વ મંત્રી જ નહીં પરંતુ તપાસમાં જે કોઈની સંડોવણી ખુલે તે તમામ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અનેક ધક્કા ખાધા હોવાની બાબત પણ ચર્ચામાં રહી હતી. હાલમાં પોલીસે મંત્રી વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો બનાવવા, વિશ્વાસઘાત અને ઉચાપત સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પૂર્વ મંત્રીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, જેથી ખેડૂતોને તેમનો હક અને ન્યાય મળી શકે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:47 pm

સિટી બસ હવે શ્રી જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ સુધી દોડશે:પાલનપુર વિસ્તારના રહીશોને ફાયદો, સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળશે

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પરિવહન માળખાને વધુ સુવિધાજનક બનાવવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આવતા પાલનપુર વિસ્તારના રહીશોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને સિટી બસ સેવા લંબાવવામાં આવી છે. આજે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આ વિસ્તૃત રૂટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળશેઅત્યાર સુધી સિટી બસ રૂટ નં. 117 (સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલથી પાલનપુર ગામ) મર્યાદિત વિસ્તાર સુધી કાર્યરત હતો. હવે આ સેવાને પાલનપુરમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ સુધી લંબાવવામાં આવી છે. આ સુવિધાને કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગો અને ધંધાદારીઓને સીધો ફાયદો થશે અને તેઓને સુરત રેલ્વે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી મળી રહેશે. નવી બસને આપી લીલી ઝંડી પાલનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. રાજન પટેલ અધ્યક્ષ, સ્થાયી સમિતિ (SMC), સંદીપ દેસાઈ ધારાસભ્ય અને સોમનાથ મરાઠે અધ્યક્ષ, જાહેર પરિવહન સમિતિ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા લીલી ઝંડી બતાવીને બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોર પર 367 બસો દોડે છેસુરત મહાનગરપાલિકા હાલમાં ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડિકેટેડ BRTS કોરિડોર પર 367 જેટલી બસો ચલાવી રહી છે. આ ઉપરાંત, 45 જેટલા સિટી બસ રૂટ પર 387 બસો દ્વારા દિવસના 2 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવે છે. હાલમાં કુલ 452 કિમીના રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:41 pm

પાટણ તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ:પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધ વંચાણે લેવામાં આવી હતી અને થયેલી કામગીરીની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા વિવિધ વિભાગોને લગતી લોકઉપયોગી રજૂઆતો કરવામાં આવી હતી. નવીન આઇકોનિક બસ પોર્ટ શરૂ કરવા અંગેની રજૂઆત સંદર્ભે જણાવાયું હતું કે, આગામી સમયમાં સરકાર તરફથી તારીખ મળ્યે તે શરૂ કરાશે. પાટણથી ઊંઝા ફોરલાઈન રોડ પર રખડતા ઢોરના કારણે થતા અકસ્માતો નિવારવા અંગેની રજૂઆત પર નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર, પાટણ દ્વારા કામગીરી કરાશે. આ ઉપરાંત, માંડોત્રી, ધારપુર, દીધડી, બાલીસણા અને વિસલવાસણાના તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રીઓ સાથે સંકલન સાધી સમસ્યાઓનું નિવારણ લાવવા તાલુકા વિકાસ અધિકારી, પાટણ દ્વારા સૂચના અપાઈ હતી. પાટણ તાલુકાના ગામોમાં મફતગાળા માટે ગામતળ માપણી વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ગ્રામ પંચાયતો દ્વારા ગામતળ માપણી ફી ભરીને કરેલી અરજીઓનો નિકાલ કરવા અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બાલીસણા, ધારપુર અને કમલીવાડામાં મફતગાળા ફાળવવા માટે તાત્કાલિક માપણી કરવા ડી.આઈ.એલ.આર.ને પ્રાંત અધિકારી દ્વારા ૭ દિવસમાં નિકાલ કરવા જણાવાયું હતું. માંડોત્રી અને બાલીસણા ગામે ગામ તળાવ સંરક્ષણ દિવાલ બનાવવા, સરવા ગામે મોટા તળાવથી નાના તળાવમાં પાઈપલાઈન મારફતે પાણી ભરવા તેમજ બાલીસણા ગામે વાળીનાથથી માયાનગર થઈ ઈન્દિરાનગર થઈ ગામ તળાવને જોડતી કાચી કેનાલ બનાવવા અંગેની રજૂઆતો સંદર્ભે નાયબ કાર્યપાલક સિંચાઈ પેટા વિભાગ, હારીજ દ્વારા હકારાત્મક જવાબો રજૂ કરાયા હતા. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા લીલીવાડી પાસે ટ્રાફિક અને દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પદ્મનાભથી જતી કેનાલ પર પ્રોટેક્શન અથવા જાળી લગાવવા અંગે પણ રજૂઆત કરી હતી. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બકરાતપુરા આંગણવાડી નવીન બનાવવા માટે જમીનની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત ઓફિસર પાટણ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી પાટણ, મામલતદાર પાટણ (ગ્રામ્ય અને શહેર), ચીફ ઓફિસર પાટણ સહિત સંકલન અને ફરિયાદ સમિતિના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:38 pm

પાટણ નગરપાલિકામાં BU પરમિશન મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા:ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને 'બુટલેગર' કહેતા ઈંટનો જવાબ પથ્થરથી' આપવા ચીમકી

પાટણ નગરપાલિકામાં નવા બસ સ્ટેન્ડના કોમર્શિયલ કોમ્પ્લેક્સને આપવામાં આવેલી બિલ્ડીંગ યુઝ (BU) પરમિશન મામલે મોટો વિવાદ છેડાયો છે. સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ પોતાની નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે. આરોપ છે કે બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને પરમિશન આપવામાં આવી છે. વિવાદનું મુખ્ય કારણ શું છે ?ચીફ ઓફિસર હિરલ ઠાકરે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે બસ સ્ટેન્ડના આગળના ભાગમાં નિર્મિત કોમર્શિયલ બિલ્ડીંગ માટે ભોંયરાના 2 માળ અને ઉપરના 2 માળ એમ કુલ 4 માળની મંજૂરી આપી છે. જોકે, સ્થાનિક કોર્પોરેટરો આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે. કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર, બિલ્ડરને ફાયદો કરાવવા માટે આગળના કોમ્પ્લેક્સમાં 1થી 4 માળની દુકાનો અસ્તિત્વમાં ન હોવા છતાં તેની પરમિશન કાગળ પર આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રક્રિયામાં અનિવાર્ય એવી ફાયર સેફ્ટીની મંજૂરી પણ લેવામાં આવી નથી. વ્યક્તિગત આક્ષેપો અને ભૂતકાળના વિવાદોઆ વિવાદે ત્યારે વરવું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે ચીફ ઓફિસર હિરલ ઠાકરે ભાજપના કોર્પોરેટર શૈલેષ પટેલ પર વ્યક્તિગત પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે શૈલેષ પટેલ પર 13 ગુના નોંધાયેલા છે અને તેઓ લિસ્ટેડ બુટલેગર કે ભાગેડુ છે. સામે પક્ષે શૈલેષ પટેલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, હું માત્ર ભાજપનો કાર્યકર છું અને મારો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. વધુમાં, કોર્પોરેટરોએ ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં ગેરરીતિઓના કારણે ગુજરાત સરકાર તેમને નોકરીમાંથી બરતરફ કરી ચૂકી છે. કોર્પોરેટરોએ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં આવા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવશે તો 'ઈંટનો જવાબ પથ્થરથી' આપવામાં આવશે. મામલો મુખ્યમંત્રી સુધી પહોંચશે પાટણમાં ચાલી રહેલી આ ખેંચતાણ હવે ગાંધીનગર સુધી પહોંચશે. આગામી સોમવારે ભાજપના કોર્પોરેટરો મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરશે. તેમની માંગ છે કે બસ પોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવે અને BU પરમિશનમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ થાય.

દિવ્ય ભાસ્કર 7 Feb 2026 6:36 pm