પશ્ચિમી દેશો જેમાં ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા અને મહાપર્વ એવાં ક્રિસમસ પર્વની ઉજવણીનો આરંભ થયો છે આઠ દિવસ ચાલનારા આ ઉત્સવને લઈને ખ્રિસ્તી પરીવારોમા પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દિવસો પૂર્વે થી શરૂ કરાયેલ નાતાલ પર્વની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ક્રિસમસ-ન્યુયર પર્વની ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે અને જેને લઈ ચર્ચ ખાતે સામુહિક પ્રે કરવામાં આવી હતી અને ચર્ચા-દેવળોને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા, જેને ભાવેણાવાસીઓ ચર્ચને રોશની થી શણગાર જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, નાતાલ પર્વની આઠ દિવસ સુધી ઉજવણી થશે વિશ્વભરમાં નાતાલ પર્વની દર વર્ષે 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી નાતાલ-નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં નાતાલ-અંગ્રેજી નવાં વર્ષની વ્યાપક બની રહી છે 25 ડીસેમ્બર થી ઉજવણીઓનો દૌર શરૂ થાય છે અને 1 જાન્યુઆરી એટલે કે પૂરા આઠ દિવસ ચાલતા ઉત્સવમાં ખ્રિસ્તીઓ સાથે ગુજરાતીઓ પણ રંગારંગ ઉજવણીમાં સહભાગી થાય છે, શહેરમાં અનેક સ્થળોએ ક્રિસમસ કાર્નિવલનું આયોજન પ્રભુ ઈસુખ્રિસ્તીના જન્મદિનની ઉજવણી એટલે નાતાલ અને 1 જાન્યુઆરી એ અંગ્રેજી નવાં વર્ષની ઉજવણી સાથે નાતાલ પર્વનું સમાપન કરવામાં આવે છે શહેરમાં અનેક સ્થળોએ ક્રિસમસ કાર્નિવલનુ આયોજન કરવામાં આવ્યું છે, તો 31 ડીસેમ્બર ની ઉજવણી માટે ખાનગી રીસોર્ટ હોટેલ્સ સહિતના એકમોમાં ફેરવેલ પાર્ટી વિથ ડીનર-ડાન્સિંગ ના આયોજનો પણ કરવામાં આવ્યા છે આઠ દિવસ ચાલનાર નાતાલ ફેસ્ટિવલ નો આજથી આરંભ થયો છે.
ભારત દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે. ત્યારે આજે રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા આયોજિત સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025 ઢોલ નગારાના તાલે ભવ્ય અને દિવ્ય માહોલમાં ગોંડલ રોડ સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળથી પ્રસ્થાન થઈ હતી. જેમાં સરદાર પટેલના જીવન પ્રસંગોને વર્ણવતો સ્વદેશી ટેબ્લો બનાવવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં વિદ્યાર્થીઓ ભારત દેશનો ધ્વજ લહેરાવતા દૃશ્યમાન થયા હતા. આ પદયાત્રા આમ તો આત્મ નિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા સ્વરૂપ છે, પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાટીદાર સમાજ અને ખોડલધામની એકતા બતાવવાના ભાગરૂપે પદયાત્રા નિકળી હોય તેવું લાગી રહ્યું છે. ખોડલધામ ખાતે 28મી ડિસેમ્બરના પૂર્ણાહુતિ થનારી પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉદ્ઘાટક તરીકે છે. સ્વામિનારાયણ ગુરુકુળથી ખોડલધામ સુધીની સ્વદેશી પદયાત્રાસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાનારી ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025’ના આયોજક એવા ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની 150મી જન્મ જયંતીના ભાગરૂપે શહેરના સ્વામિનારાયણ ગુરુકુળથી ખોડલધામ સુધીની સરદાર પટેલ સ્વદેશી પદયાત્રાનો પ્રારંભ થયો છે. જે પદયાત્રા આજે 26 ડિસેમ્બરના શાપર વેરાવળ પહોંચશે અને ગોંડલમાં રાત્રી રોકાણ કરશે. જે બાદ 27મી ડિસેમ્બરના સવારે આ પદયાત્રા ગોંડલથી નીકળી કાગવડ પહોંચશે. જે બાદ 28મી ડિસેમ્બરના આ યાત્રા ખોડલધામ પહોંચશે. જે દરમિયાન અલગ અલગ સમાજના લોકો અલગ અલગ પહેરવેશમાં સજ્જ થઈ આવશે. સરદાર પટેલની પ્રતિમા વાળો રથ આકર્ષણનું કેન્દ્રસરદાર પટેલની આ પદયાત્રા દરમિયાન સરદાર પટેલના જીવનપ્રસંગો અને તેમના પ્રેરણાદાયી વિચારો જનસામાન્ય સુધી પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રાનું વિશેષ આકર્ષણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનો તૈયાર કરાયેલ સ્વદેશી રથ (ટેબ્લો) હતો. જે પદયાત્રા સાથે જોડાયો હતો. ‘આત્મનિર્ભર ભારત’ની વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસઆ સ્વદેશી રથમાં ભારતની આત્મનિર્ભર શક્તિ દર્શાવતા વિવિધ ક્ષેત્રોના સ્વદેશી ઉત્પાદનોની પ્રતિકૃતિ પ્રદર્શન રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખેતીવાડીના સ્વદેશી ઓજારો, CNC મશીનો, બેરિંગ્સ, એરોનોટિકલ પાર્ટ્સ, પવનચક્કી, સોલાર પ્લેટ્સ, વિવિધ પ્રકારના ગિયર્સ, મીની ટ્રેક્ટર્સ, ઓટોમોબાઇલ પાર્ટ્સ, કાસ્ટિંગ તથા ફાઉન્ડ્રી પાર્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, પોલીકાર્બોનેટ શીટ્સ સહિત અનેક સ્વદેશી ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રથ દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની વિચારધારાને દૃશ્યરૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ મહાનુભાવો પદયાત્રામાં જોડાયા આજે તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે શહેરના ગોંડલ રોડ ઉપર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલથી પદયાત્રા પ્રસંગે મુજકા સ્થિત આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ- સંતો, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ લાંબા સમય બાદ સ્ટેજ પર દેખાયા હતા. પૂર્ણાહુતિમાં મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશેઆ પદયાત્રાનું તા. 28 ડિસેમ્બરના ખોડલધામ ખાતે દિવ્ય ધ્વજારોહણ સાથે ભવ્ય સમાપન થશે. જેમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અધ્યક્ષસ્થાને તો નરેશ પટેલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે.
ગંગાજીને ગુજરાત લાવવા 1400 કિમીની ‘ભગીરથ દોડ’, હરિદ્વારથી જામનગરના ખરેડી સુધી 30 યુવાનો લગાવશે દોડ જેમાંથી ભાવનગરના 18 યુવાનો નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ-ખરેડી દ્વારા એક અનોખો અને સાહસિક સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવી જામનગરના ખરેડી ગામે બિરાજતા ખરડેશ્વર મહાદેવને અભિષેક કરવા માટે ભાગીરથી રિલે રન 2025-26 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ખાસ કરીને ભાવનગરના 15 યુવાનો અને 2 પોલીસ જવાનો પણ જોડાયા છે, જે ભાવનગર માટે ગૌરવની વાત છે, નોન-સ્ટોપ દોડ અને ભક્તિનો સંગમ આ યાત્રાનો પ્રારંભ 27 ડિસેમ્બર 2025ના રોજ હરિદ્વાર (ઉત્તરાખંડ) થી થશે, જે અંદાજે 1400 કિલોમીટર લાંબો આ માર્ગ પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે. આ એક રિલે રન છે, જેમાં 30 જેટલા ખેલાડીઓની ટીમ દિવસ-રાત સતત દોડીને ગંગાજીને ખરેડી સુધી પહોંચશે, મુખ્ય આકર્ષણો અને હેતુ હરિદ્વારથી નીકળેલી આ દોડ રૂડકી, જયપુર, એકલિંગજી અને અમદાવાદ થઈને 2 કે 3 જાન્યુઆરી 2026ના રોજ ખરેડી પહોંચશે, આ આયોજન પાછળ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો રન ફોર નેશન નો ઉમદા સંદેશ છે નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે શિવમ પેટ્રોલિયમ રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને ગ્રો ફિટ ફાઉન્ડેશન સહભાગી બન્યા છે, ભવ્ય સ્વાગત અને સન્માન જ્યારે આ દોડવીરો ગંગાજળ લઈને ખરેડી પહોંચશે, ત્યારે ખરડેશ્વર મંદિરના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે, અહીં દોડવીરોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગંગા જળાભિષેકનો મુખ્ય ધાર્મિક વિધિ સંપન્ન થશે, આ આયોજનમાં મેડિકલ ટીમ, લોજિસ્ટિક સપોર્ટ અને વાહનોની વ્યવસ્થા સાથે આખી ટીમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને આગળ વધી રહી છે. 5 રાજ્યોમાંથી પસાર થઈ કુલ 1400 કિલોમીટરનું અંતર કાપશે સરવૈયા રાહુલ વાલજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમે લોકોએ એક નાનકડું આયોજન કરેલું છે અમારી સાથે PSI મહાવીરસિંહ જાડેજા કરીને તે હાલ વડોદરામાં ક્વાર્ટરમાં જોબ કરે છે અમે લોકો ભાવનગરથી ટોટલ 18 જણા છીએ અને ટોટલ 30 જણા અમે પાર્ટિસિપેટ છીએ, તો અમે લોકો જવાના છીએ હરિદ્વારથી ગુજરાત, ગુજરાતમાં જામનગર જિલ્લાનું 'ખરેડી' કરીને ગામ છે ત્યાં 'નવયુગ' કરીને એક નાનકડું ટ્રસ્ટ છે, ત્યાં અમે લોકો જોડાયેલા છીએ, અમે લોકો ગંગાજીને હરિદ્વારથી ગુજરાતમાં લાવવાના છીએ, તેનું અંતર 5 રાજ્યોમાંથી પસાર થવાનું છે અને ટોટલ 1400 કિલોમીટરનું અંતર છે. ત્યાંથી અમે હરિદ્વારથી રિલે રનિંગ કરીને આવવાના છીએ, દેશમાં કંઈક નવું આયોજન થાય, દેશમાં અલગ-અલગ આધ્યાત્મિક કેળવણી અને 'ફિટ ઈન્ડિયા' નો સંદેશ પહોંચે તે હેતુ થી ભગીરથ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, નોન-સ્ટોપ રાત-દિવસ રનિંગ ચાલુ રહેશે કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે, તળાજા તાલુકાના નિસડી ગામનો રહેવાસી છું અને હાલ ભાવનગરમાં રહું છું, આ ભગીરથ રન છે હરિદ્વારથી ખરેડી (આપણા જામનગરનું એક નાનું ગામ છે) ત્યાં સુધી આવવાના છીએ, કુલ અમે તા.27 થી તા.2-3 જાન્યુઆરી સુધી રનિંગ કરીશું, અ દોડ કુલ પાંચ રાજ્યોમાંથી પસાર થશે, અને દિવસ-રાત નોન-સ્ટોપ રાત-દિવસ રનિંગ ચાલુ રહેશે, આ રન નવા યુવાનો માટે એક નવો સંદેશ છે, ફિટ ઈન્ડિયા માટે અને ભારત માટે કંઈક નવું કરવા માટે છે.
મોરબી જિલ્લા SOG ટીમે વાંકાનેર ટાઉનહોલના પાર્કિંગમાંથી 3.183 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹10.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર ટાઉનહોલ પાસે પાર્કિંગમાં ઊભેલી GJ 4 DN 3804 નંબરની આર્ટિકા કારમાં ગાંજાનો જથ્થો છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારમાંથી 3.183 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત ₹3,59,150 આંકવામાં આવી છે. પોલીસે કારમાં બેઠેલા લલિતભાઈ ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા અને વિજયભાઈ સાગરભાઇ સારલા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. ગાંજા ઉપરાંત, પોલીસે ₹7 લાખની કિંમતની આર્ટિકા કાર, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹3,500 રોકડા પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹10,72,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી વાંકાનેર સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર રણ કાંધી નજીક નોંધાયું હતું. વહેલી સવારે 4.30 વાગ્યે આવેલા આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ગેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ હતી. બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા. 4.6ની તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મકાનો કે જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે. કચ્છમાં આવેલી 'વાગડ ફોલ્ટ લાઈન' સક્રિય હોવાને કારણે ભચાઉ અને રાપર વચ્ચેના વિસ્તારમાં આવા આંચકા વારંવાર અનુભવાય છે. બે દિવસ પહેલા ભચાઉ નજીક 3.0ની તીવ્રતાનો આંચકો નોંધાયોકચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા એટલે કે 24 તારીખે પણ સવારે 10.49 કલાકે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાથી 10 કિલોમીટર દૂર કરમરિયા ગામ નજીક નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા આ આંચકાની તીવ્રતા 3.0 નોંધવામાં આવી હતી. જોકે, સ્થાનિક કક્ષાએ તેની ખાસ કોઈ અસર વર્તાઈ ન હતી, પરંતુ ધરતી ધ્રુજવાના સમાચારથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી. 13મી ડિસેમ્બરે પણ આંચકો નોંધાયો હતોઅગાઉ 13મી તારીખે માંડવીના ગઢશીશા નજીક 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપ કેવી રીતે આવે છે?ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ અંદરોઅંદર અથડાય છે ત્યારે ત્યાં ફોલ્ટલાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેને કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે એને ભૂકંપ માનીએ છીએ. ભૂકંપની તીવ્રતા કેટલી હોય છે?રિક્ટર સ્કેલ પર 2.0થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એવી જ રીતે, 2.0થી 2.9ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપ દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0થી 3.9ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. એ અનુભવાય છે, પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઈટ કેટેગરીના ધરતીકંપ 4.0થી 4.9 તીવ્રતાના હોય છે, જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને એને કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જોકે તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે. ભૂકંપ આવે તો શું કરવું ? ભૂકંપના આંચકા જેવા આવે તાત્કાલિક ઓફિસ કે ઘરની બહાર નીકળી જવુંવીજળીના થાંભલા, ઝાડ અને ઊંચી ઈમારતથી દૂર ઊભા રહેવુંઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવોઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધોભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવુંઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું, જેથી ઈજાગ્રસ્ત થવાની શક્યતા ન રહેભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવુંદરવાજા હોય ત્યાં ન ઊભા રહેવું, જેથી દરવાજો ખૂલે કે પડે તો ઈજા ન થાય
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામની સીમમાં ખેતરના ઢાળિયા પાસે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 28.90 લાખનો દારૂ-બીયર અને વાહનો મળી કુલ 54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી મોટા પાયે ચાલતા વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, વનરાજજી માનચંદજી ઠાકોર અને રણજીતજી વાલજીજી ઠાકોર નામના શખ્સો પુનડીયાપુરા પ્રાથમિક શાળાની પાછળ આવેલા ખેતરના ઢાળિયા પાસે ખટારામાંથી ક્રેટા કારમાં દારૂનું કટિંગ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. અંધારાનો લાભ લઈ 5 થી 6 અજાણ્યા માણસો અને વાહનોના ચાલકો નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસે વનરાજજી માનચંદજી ઠાકોરને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ખટારા અને ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6,756 બોટલો અને બીયરના 1,992 ટીન મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત 28,90,128 રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 15 લાખની કિંમતનો ખટારો, 10 લાખની ક્રેટા કાર, 2 મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 54,00,128 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો અમીરગઢના મહાવિરસિંહ ઉર્ફે રાણા પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આ જથ્થો રાજસ્થાનના મીણ જામ્બુડી ખાતે મોંટુસિંગના ઠેકા પરથી જુમાભાઈ ગરાસીયાએ ભરાવી આપ્યો હતો. પોલીસે આ મામલે વનરાજજી ઠાકોર, રણજીતજી ઠાકોર, મહાવિરસિંહ ઉર્ફે રાણા, મોંટુસિંગ, જુમાભાઈ ગરાસીયા અને વાહનોના ચાલકો સહિતના શખ્સો વિરુદ્ધ વાગડોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિટી એન્કર:90 વર્ષની ઉજવણીઃ નૌ દશકો કી કહાની, ઈન્દ્રધનુષ કી જુબાની
કાંદીવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનો વાર્ષિક કાર્યક્રમ શ્રી ટી. પી. ભાટિયા સાયન્સ કોલેજના પ્રાંગણમાં ઊજવાયો હતો. નવ દાયકાની યાત્રા કરનારી આ સંસ્થાનો ઇતિહાસ કાંઈ નાનો સુનો ન હોય! 1936 માં સ્થાપિત થયેલી શાળા 90 વર્ષ પુરા કરી રહી છે એ મુખ્ય વિષયને લક્ષમાં રાખીને નૌ દશકો કી કહાની, ઇન્દ્રધનુષ કી જુબાની નામક કાર્યક્રમમાં વર્તમાન સમયમાં ચાલનારી વિવિધ પ્રવૃત્તિઓને આવરી લઈને પૂર્ણ કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચિત્રગુપ્તનો ચોપડો, યમ દેવ, નારદજી AI (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ) ની વાતો કરતા દર્શાવાયા હતા. માતા સરસ્વતીના મંદિરમાં જ્ઞાનપીપાસાની અને વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે થતી પ્રવૃત્તિ જેવી કે આર.એસ.પી., વિજ્ઞાન પ્રદર્શન, વિવિધ રમત- ગમત, સ્વયં સુરક્ષાના વર્ગો, સંગણક શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓને મંચ પર ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વિશેષ હાજરી : 90 વર્ષની આ ઉજવણીમાં નવો પ્રયોગ એ હતો કે તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેમણે જુદા- જુદા ક્ષેત્રમાં નામના મેળવી છે તેમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં મનીષ શાહ, નેહા જોશી, યાજ્ઞિક ઠાકર, પ્રાચી જોશી, હરેન પાંચાલ અને ડૉ. ગ્રીષ્મા વાલાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સુવિખ્યાત સાહિત્યકાર ડો. દિનકર જોશીના સાહિત્ય સર્જન અને એમના અનોખું વિચારવાના દ્રષ્ટિકોણને વિદ્યાર્થીઓએ મંચ પર નાટિકા સ્વરૂપે રજૂ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનઆચાર્યા કવિતાબેન મારૂ એ આભારવિધિ કરી હતી. શાળાના ઉપચાર્યા શ્રીમતી દીપ્તિ રાઠોડની દેખરેખ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમના નૃત્ય વિભાગના અરવિંદ જાધવ અને ટીમ, નાટ્ય પ્રસ્તુતિ શિક્ષિકા અર્ચના શાહ અને ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. સંસ્થાના પ્રમુખ મહેશ શાહ, શાળા સમિતિના અધ્યક્ષ વિનોદ શાહે ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
નવા અભ્યાસમાં ચેતવણી સૂચક તારણ:થોડી માત્રામાં શરાબ સેવન પણ ઓરલ કેવિટીના કેન્સરનું જોખમ વધારી શકે છે
મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર ખાતે સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી, ધ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) દ્વારા કરવામાં આવેલા એક સીમાચિહ્નરૂપ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મૌખિક કેન્સરના વિકાસમાં દારૂ પીવાની કોઈ સલામત મર્યાદા નથી. ભારતમાં દરરોજ લગભગ એક પ્રમાણભૂત પીણું ઓછું શરાબ સેવન પણ ઓરલ મ્યુકોસલ કેન્સરનું જોખમ 50% વધારે છે, જેમાં સ્થાનિક રીતે બનાવવામાં આવેલા દેશી શરાબનું જોખમ સૌથી વધુ હોય છે. ઓપન એક્સેસ જર્નલ BMJ ગ્લોબલ હેલ્થમાં ઓનલાઈન પ્રકાશિત થયેલા એક મોટા તુલનાત્મક અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. બુધવારે ખારઘરમાં ACTREC ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અભ્યાસનું વિગતવાર વિશ્લેષણ આપવામાં આવ્યું હતું. ACTRECના ડાયરેક્ટર ડૉ. પંકજ ચતુર્વેદી, સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજીના ડાયરેક્ટર ડૉ. રાજેશ દીક્ષિત, અભ્યાસના મુખ્ય વરિષ્ઠ લેખક ડૉ. શરયુ મ્હાત્રે અને સંશોધન ટીમના ગ્રેસ જ્યોર્જ હાજર હતા.અભ્યાસમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તમામ પ્રકારના દારૂ પીવાથી, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જેમ કે બિયર, વ્હિસ્કી, વાઇન હોય કે સ્થાનિક રીતે ઉત્પાદિત બ્રાન્ડ જેમ કે ભારતમાં મહુઆ, તાડી, દેશી દારૂ કે લઠ્ઠો, બકલ કેવિટી કેન્સરનું જોખમ વધારે છે. અભ્યાસમાં પહેલી વાર પુષ્ટિ મળી છે કે તમાકુ ચગળવા અને દારૂ પીવાથી મોઢાના કેન્સરનું જોખમ બંને આદતો ન રાખવાની સરખામણીમાં ચાર ગણું વધી જાય છે. મોઢાના કેન્સરને રોકવા માટે તમાકુ અને દારૂના ઉપયોગ બંનેને નિયંત્રિત કરવા જરૂરી છે.સંશોધકો કહે છે કે ભારતમાં મોઢાનું કેન્સર બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે, જેમાં દર વર્ષે આશરે 143,759 નવા કેસ અને 79,979 મૃત્યુ થાય છે. આ રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે, દર 100,000 ભારતીય પુરુષો દીઠ આશરે 15 કેસ છે. ભારતમાં મૌખિક કેન્સરનું મુખ્ય સ્વરૂપ બકલ મ્યુકોસાનું કેન્સર છે, જે ગાલ અને હોઠની નરમ ગુલાબી અસ્તર છે. અસરગ્રસ્ત લોકોમાંથી અડધાથી ઓછા 5 વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવિત રહે છે.આ અભ્યાસમાં 2010 અને 2021 વચ્ચે પુષ્ટિ થયેલ બકલ મ્યુકોસા કેન્સર ધરાવતા 1,803 દર્દીઓ અને 1,903 રોગમુક્ત વ્યક્તિઓની તુલના કરવામાં આવી હતી. સહભાગીઓએ તેમના દારૂના સેવનની વિગતો, જેમાં પ્રકાર, આવર્તન અને અવધિનો સમાવેશ થાય છે, તેની જાણ કરી. તારણો દર્શાવે છે કે દારૂ પીનારાઓમાં દારૂ ન પીનારાઓ કરતાં 68% વધુ જોખમ હતું. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રીતે ઉકાળેલા આલ્કોહોલિક પીણાં બંનેએ જોખમમાં નોંધપાત્ર વધારો કર્યો હતો અને સ્થાનિક રીતે ઉત્પાદિત દેશી દારૂના ગ્રાહકોમાં સૌથી વધુ જોખમ જોવા મળ્યું હતું. મજબૂત દારૂ નિયંત્રણ નીતિ જરૂરીઆ વિષય પર યોજાયેલી પત્રકાર પરિષદમાં, ACTREC ના ડાયરેક્ટર ડૉ. પંકજ ચતુર્વેદીએ સૂચન કર્યું કે દારૂ નિયંત્રણ નીતિને મજબૂત બનાવવા અને અમલમાં મૂકવાનો હવે યોગ્ય સમય છે. ભારતમાં દારૂ નિયંત્રણ માટેનું વર્તમાન કાનૂની માળખું જટિલ છે અને તેમાં કેન્દ્ર અને રાજ્ય બંને પ્રકારના કાયદાઓનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ દારૂ રાજ્ય સૂચિમાં સૂચિબદ્ધ છે, જે રાજ્યોને દારૂના ઉત્પાદન, વિતરણ અને વેચાણનું નિયમન અને નિયંત્રણ કરવાની સત્તા આપે છે. જોકે, સ્થાનિક દારૂ બજાર અનિયંત્રિત રહે છે, જેમાં કેટલાક ભાગ લેનારા દારૂમાં 90% સુધીનો દારૂ હોય છે,” એમ તેમણે સમજાવ્યું. ગુજરાતમાં મોઢાનું કેન્સરનું જોખમ વધુસેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજીના ડાયરેક્ટર ડૉ. રાજેશ દીક્ષિતે જણાવ્યું હતું કે પરિણામો સૂચવે છે કે ભારતમાં 10 માંથી 1 થી વધુ કેસ (બધા મોઢાના મ્યુકોસા કેન્સરના લગભગ 11.5%) દારૂ સંબંધિત કારણોસર થાય છે, જે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, તેલંગાણા અને મધ્ય પ્રદેશ જેવાં કેટલાંક રાજ્યોમાં 15% થી વધુ છે, જ્યાં આ રોગ વધુ સામાન્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત જેવાં રાજ્યોમાં, જ્યાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, દારૂ સંબંધિત મોઢાના કેન્સરનું જોખમ ઘણું ઓછું છે. જાગૃતિ - નિવારણ જરૂરીઅભ્યાસના મુખ્ય વરિષ્ઠ લેખક ડૉ. શરયુ મ્હાત્રે અને સંશોધન ટીમના ગ્રેસ જ્યોર્જે અભ્યાસ અહેવાલ રજૂ કર્યો. દારૂ અને તમાકુના ઉપયોગ સાથે સંકળાયેલા વધતા જોખમો પર પ્રકાશ પાડતા, તેઓએ અસરકારક જાગૃતિ અને નિવારણ પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો.
મુસાફરોને ક્રિસમસ ભેટ:NMIAપર ફ્લાઈટનું ઉતરાણ થતાં વોટર કેનનથી ભવ્ય સ્વાગત
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)ના દરવાજા ગુરુવારે સત્તાવાર રીતે ખોલીને મુસાફરોને ક્રિસમસ ભેટ અપાઈ હતી. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ અને મહારાષ્ટ્ર સરકારની સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્રા (સિડકો) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા આ આધુનિક એરપોર્ટ પર 25 ડિસેમ્બરે પ્રથમ વ્યાવસાયિક ફ્લાઈટનું સફળ ઉતરાણ થયું. પહેલી ફ્લાઇટ ઉતરાણ થયા બાદ ગૌતમ અદાણીએ ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, મુંબઈગરા માટે આ ગર્વની ક્ષણ છે. આ એરપોર્ટ વિકસાવવાનો અધિકાર મળ્યો તે માટે અમે ભાગ્યશાળી છીએ. આ સંપૂર્ણપણે નવું અને વિશ્વ સ્તરીય એરપોર્ટ છે, જેને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.ગૌતમ અદાણીએ મુસાફરોને સંદેશ આપતાં એમ પણ કહ્યું કે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થવાથી મુંબઈના વર્તમાન એરપોર્ટ પરનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે. છેલ્લાં દસ વર્ષથી મુંબઈ એરપોર્ટ ભારે દબાણ હેઠળ હતું. તેની પ્રવાસીઓ હાથ ધરવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હતી. એનએમઆઈએ શરૂ થતાં હવાઈ ટ્રાફિકમાં મોટી રાહત મળશે, એમ તેમણે કહ્યું.ગુરુવારે સવારે 8 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઇટ 6ઈ460 બેંગલુરુથી આવીને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરી. આ ઐતિહાસિક ક્ષણને ઊજવવા માટે વિમાનનું વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું, જે વિમાન ઉદ્યોગમાં એક પરંપરાગત સન્માન માનવામાં આવે છે. આ પહેલાં ઇન્ડિગોના સ્ટાફે કેક કાપી અને નાળિયેર ફોડી શુભ શરૂઆત કરી હતી.આ ઉતરાણ બાદ એરપોર્ટ પરથી પહેલી ડિપાર્ચર ફ્લાઇટે પણ ઉડાણ ભર્યું. સવારે 8:40 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ882 હૈદરાબાદ માટે રવાના થઈ, જેની સાથે જ એનએમઆઈએ પરથી નિયમિત હવાઈ સેવાઓની શરૂઆત થઈ. અદાણી ગ્રુપે સોશિયલ મિડિયા પર રિયલ-ટાઈમ અપડેટ્સ આપતાં લખ્યું કે, ભારતીય હવાઈ ઉદ્યોગ માટે એક નવો યુગ શરૂ થયો છે. વર્ષોની યોજના અને અમલ બાદ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે પહેલી ફ્લાઇટનું સ્વાગત કરવા તૈયાર છે. અંતિમ તબક્કામાં દર વર્ષે 9 કરોડ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવતું એનએમઆઈએ માત્ર મુંબઈ માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે નવી શક્યતાઓ ઊભી કરશે. આ રીતે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રારંભ સાથે ભારતના હવાઈ માળખામાં એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે, અને મુંબઈ મહાનગર વિસ્તાર માટે વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે.
કામગીરી:બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશનના કામ પર પાલિકા તરફથી કામ બંધની નોટિસ
મુંબઈથી અમદાવાદનું અંતર બે-અઢી કલાકમાં પાર કરી શકાય એ માટે મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રકલ્પનું પહેલુ સ્ટેશન બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલુ છે. જો કે બીકેસીના કામ દરમિયાન વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમવલીનું ઉલ્લંઘન કરવા પ્રકરણે મુંબઈ મહાપાલિકાએ બુલેટ ટ્રેનના કામને કામ બંધ (સ્ટોપ વર્ક) નોટિસ બજાવી છે. તેથી હવે આ કામ બંધ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પમાં જરૂરી સુધારા જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ બંધ રહેશે. એનો ફટકો બુલેટ ટ્રેન પ્રકલ્પના કામને પડવાની શક્યતા છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ કરી રહી છે. દેશનો આ પ્રથમ હાઈસ્પીડ રેલવે પ્રકલ્પ 2029 સુધી પૂરી રીતે શરૂ થાય એવી શક્યતા છે. આ પ્રકલ્પમાં પહેલુ અને મહત્વનું સ્ટેશન બીકેસી ખાતે બાંધવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનના કામ અંતર્ગત અત્યારે ખોદકામ ચાલુ છે. આ કામ દરમિયાન એનએચએસઆરસીએલ તરફથી વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીનું ઉલ્લંઘન થતું હોવાની બાબત મહાપાલિકાની તપાસમાં જણાઈ હતી. એ પછી મહાપાલિકા તરફથી કારણ દર્શાવો નોટિસ બજાવીને જરૂરી સુધારા કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ નોટિસ પછી પણ પ્રકલ્પના વાયુ પ્રદૂષણ નિયંત્રણની દષ્ટિએ જરૂરી સુધારા ન થવાથી બીકેસીના વાયુ પ્રદૂષણમાં, હવાની ગુણવત્તા ખરાબ થવામાં આ પ્રકલ્પ જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું. આ પ્રકલ્પના કામના લીધે થતા પ્રદૂષણ પર હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને મહાપાલિકની ટીકા કરતા જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મેટ્રો-2બી અને હાઈ કોર્ટના કામમાં ઝટ સુધારોઅંધેરી પશ્ચિમ –મંડાલે, માનખુર્દ મેટ્રો-2બી રૂટ અને બાન્દરાના હાઈ કોર્ટ પ્રકલ્પના તોડકામ દરમિયાન વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીનું ઉલ્લંઘન થાય છે. તેથી આ બંને પ્રકલ્પમાં પણ કોન્ટ્રેક્ટરોને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. આ બંને પ્રકલ્પમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીની જે બાબતોનું ઉલ્લંઘન થયું છે એમાં સુધારા કરવાનું આશ્વાસન પ્રકલ્પની સંબંધિત યંત્રણાઓએ આપ્યું છે. તેથી આ પ્રકલ્પોને કામ બંધ કરવાની નોટિસ હજી આપવામાં આવી છે. જરૂરી સુધારા કરવા પ્રકલ્પને સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં સુધારા નહીં થાય તો આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ મહાપાલિકાએ જણાવ્યું છે.
ધરપકડ:વેપારીને ફરિયાદનો ડર બતાવી 10 કરોડ માગનારી બે મહિલા ઝડપાઈ
મુંબઈમાં ખોટી છેડછાડની ફરિયાદ રચી રૂ. 10 કરોડની ખંડણી માંગવાના ગંભીર મામલામાં બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હેમલતા આદિત્ય પાટકર ઉર્ફે હેમલતા બાણે (ઉંમર 39) અને અમ્રીના ઇકબાલ ઝવેરી ઉર્ફે એલિસ ઉર્ફે અમ્રીના મેથ્યુ ફર્નાન્ડિસ (ઉંમર 33)ને મુંબઈ પોલીસની એન્ટી-એક્સ્ટોર્શન સેલે રકમ સ્વીકારતી વખતે રંગેહાથ પકડી હતી. આ કાર્યવાહી એક વેપારીની ફરિયાદના આધારે ગોઠવાયેલા ટ્રેપ પછી કરવામાં આવી હતી.ફરિયાદી અરવિંદ ગોયલ ગોરેગાંવ પશ્ચિમમાં રહે છે, અને ગોયલ એન્ડ સન્સ ઇન્ફ્રા એલએલપી નામની કંપની ચલાવે છે. તેમના પુત્ર રીતમનું સગપણ 5 નવેમ્બરે યશ્વી શાહ સાથે થયું હતું. આ પ્રસંગની ઉજવણી માટે 14 નવેમ્બરની રાતે અંધેરીના અંબોલી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પાર્ટી યોજાઈ હતી. પાર્ટી બાદ 15 નવેમ્બરની વહેલી સવારે લગભગ 2.40 વાગ્યે રીતમ, તેની મંગેતર યશ્વી, તેનો ભાઈ અને એક મિત્ર લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા, ત્યારે એક અજાણી મહિલા લિફ્ટમાં પ્રવેશી.આ મહિલાએ આરોપ લગાવ્યો કે, રીતમે તેની પર લેસર લાઇટ ફેંકી હતી. આ મુદ્દે બોલાચાલી થઈ અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતાં જ મહિલાએ બૂમાબૂમ કરી હંગામો સર્જ્યો. બાદમાં અંબોલી પોલીસ સ્ટેશનમાં રીતમ સામે છેડછાડનો કેસ નોંધવામાં આવ્યો.આ પછી બંને મહિલાઓએ આ કેસ અદાલત બહાર સેટલ કરવા માટે રૂ. 10 કરોડની માગ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
શિક્ષણ:શિક્ષકોને સ્કૂલ દરમિયાન મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા હાકલ
સ્કૂલમાં ભણાવવા સાથે વિવિધ સરકારી યોજના, ઉપક્રમ, અહેવાલ અને માહિતી ભેગી કરવા શિક્ષકોએ પોતાના ખાનગી મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. એની ભણાવવાના કામ પર ગંભીર અસર થતી હોવાથી શિક્ષકોમાં તીવ્ર નારાજગી છે. સતત આવતા ઓનલાઈન મેસેજના લીધે મોબાઈલ હેંગ થવો, વ્યક્તિગત ડેટા ખર્ચ થવો અને માનસિક તાણ વધવી જેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાનું શિક્ષક સંગઠનોનું જણાવવું છે. એ જોતા શિક્ષકોએ સ્કૂલના સમયમાં વોટ્સએપ સહિત ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવો નહીં એવી હાકલ મહારાષ્ટ્ર રાજ્ય પ્રાથમિક શિક્ષક સમિતિના રાજ્યાધ્યક્ષ વિજય કોંબેએ કરી છે. સ્કૂલ શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા થોડા વર્ષમાં કોઈને કોઈ કારણોસર સતત માહિતી ભરવાના કામ અપાતા હોવાથી ભણાવવાનું કામ બાજુએ રહી જાય છે. એ પછી રિઝલ્ટ આવે એટલે ગુણવત્તા સુધારવાના નામ હેઠળ આખરે શિક્ષકોને જ જવાબદાર ગણવામાં આવે છે એવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો. સ્કૂલમાં મોબાઈલ પર કામ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગેરસમજ ઊભી થાય છે. શિક્ષકો ભણાવતા નથી અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે એવો ખોટો સંદેશ જાય છે. તેથી શિક્ષકોની સામાજિક અને વ્યવસાયિક છબી ખરડાય છે. મોટા ભાગે માહિતી વોટ્સએપ ગ્રુપ દ્વારા જ થતી હોવાથી સુપરવાઈઝીંગ યંત્રણાએ પોતાની સગવડ માટે તૈયાર કરેલા અનધિકૃત ગ્રુપમાંથી શિક્ષકોએ બહાર પડવું અને કોઈ પણ દબાણ હેઠળ ફરીથી ગ્રુપના મેમ્બર ન થવું એવી હાકલ પણ કરવામાં આવી છે. આ પહેલાં અનેક શિક્ષકોએ આવી હિંમત દેખાડી છે અને તેમના પર કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નથી એમ કોંડેએ ધ્યાન ખેંચ્યું હતું. સ્કૂલના સમયમાં ઈંટરનેટ બંધ રાખવું, વોટ્સએપ પર રીડ વિકલ્પ બંધ કરવો અને ભણાવવાના સમયમાં ઓનલાઈન કામ માટે સ્પષ્ટ ના પાડવી જેવા ઉપાય છે.
અંધેરીની ઈમારતમાં આગ:40થી વધુ રહેવાસીઓને ઉગારી લેવાયા
અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડ પર આવેલા બહુમજલી સોરેન્ટો ટાવરમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. કન્ટ્રી ક્લબ નજીક આવેલી આ ઇમારતમાં લાગેલી આગની જાણ સવારે 10.05 વાગ્યે ફાયર બ્રિગેડ કંન્ટ્રોલરૂમને કરવામાં આવી હતી, જેના પગલે તાત્કાલિક બચાવ અને અગ્નિશામક કામગીરી શરૂ કરવામાં આવી.આગ દરમિયાન ઉપરના માળે ફસાયેલા 40થી વધુ રહેવાસીઓને ફાયર ફાઇટરો દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અધિકારીઓની ઝડપી કાર્યવાહી અને સંકલિત બચાવ અભિયાનને કારણે કોઈને પણ ઈજા પહોંચી નહોતી અને તમામ રહેવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આગ સ્ટિલ્ટ પ્લસ 4 પોડિયમ અને 5મા થી 22મા માળના રહેણાક મકાનના વિવિધ માળ પર ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક શાફ્ટમાં ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન વગેરે અને રાઉટર, શૂ રેક, ઇલેક્ટ્રિક ડક્ટ નજીક લાકડાનાં ફર્નિચર વગેરે સુધી ફેલાઈ હતી, એમ બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે. આ ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે, 16મા માળના રેફ્યુજી એરિયામાં ફસાયેલા અંદાજે 30થી 40 લોકોને સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. ઉપરાંત, 15મા માળે આવેલા ફ્લેટ નંબર 1503માંથી બે પુરુષો અને એક મહિલાને બ્રીધિંગ એપરેટસ સેટનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે ઉગારી લેવાયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, સંબંધિત વીજળી વિતરણ કંપનીના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં. સવારે 10.20 વાગ્યે આગને લેવલ-1 જાહેર કરવામાં આવી હતી અને લાંબી કામગીરી બાદ સવારે 11.37 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ થઈ નથી.
કાર્યવાહી:આતંકવાદ માટે ધરપકડ કરાયેલો ઝુબેર ફરી એટીએસના કબજામાં
ભારતીય ઉપખંડમાં અલ કાઈદા પ્રતિબંધિત સંગઠન સાથે કડી અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓ માટે બે મહિના પૂર્વે ધરપકડ કરવામાં આવેલા પુણેના સોફ્ટવેર એન્જિનિયર ઝુબેર હંગરકેકરને ફરી એટીએસ (એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ) કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિબંધ) ધારા (યુએપીએ)ના કેસ સાંભળતી વિશેષ કોર્ટ દ્વારા અગાઉ તેને 3 જાન્યુઆરી સુધી એટીએસ કસ્ટડી આપવામાં આવી હતી. એટીએસ દ્વારા તેની બુધવારે કસ્ટડી લેવામાં આવી. તેને 3 જાન્યુઆરી સુધી એટીએસ કસ્ટડી અપાઈ છે. યુએપીએ હેઠળ આતંકવાદ સંબંધી કેસમાં પોલીસ કસ્ટડીનો મહત્તમ સમયગાળો 30 દિવસનો હોય છે. હંગરકેકર (37)ની 27 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી, જે પછી કોર્ટે 18 દિવસની એટીએસ કસ્ટડી આપી હતી. આ પછી ગયા મહિને તેને એટીએસના જ કહેવાથી જ્યુડિશિયલ કસ્ટડી અપાઈ હતી. આથી એટીએસ કસ્ટડી બાકી હતી, જેથી એટીએસે ફરી તેને કસ્ટડીમાં લીધો છે. એટીએસે અગાઉ જણાવ્યુંમ કે તપાસમાં એવું જણાયું છે કે તેના જૂના ફોનમાં પાકિસ્તાની સંપર્ક નંબરો છે. તેનું વિશ્લેષણ કરતાં એક પાકિસ્તાન, બે સાઉદી અરેબિયા અને એક- એક કુવૈત અને ઓમાનના નંબરો છે. જોકે આ નંબરો પર કોઈ કોલ બતાવતા નથી. એટીએસે કોર્ટને જણાવ્યું કે હંગરકેકરને આ વિશે પુછાતાં તેને આ ફોન નંબરો વિશે કશું જ યાદ નથી એવો જવાબ આપી રહ્યો છે. એટીએસે અગાઉ કોર્ટને જણાવ્યું કે આરોપી કોંઢવા વિસ્તારમાં આક્રમક રીતે ઉશ્કેરણીજનક ધાર્મિક પ્રવચનો કરતો હતો.તેના ઘરની તલાશીમાં મોબાઈલ ફોનમાં અલ કાઈદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનન્ટ એન્ડ ઓલ ઈટ્સ મેનિફેસ્ટેશન્સ શીર્ષક હેઠળની પીડીએફ ફાઈલ ડિલીટ કરાઈ હોવાનું મળી આવ્યું હતું. ઈદ-ઉલ- ફિત્ર પર અલ કાઈદાના પ્રમુખ સ્વ. ઓસામા બિન લાદેન દ્વારા અપાયેલા ભાષણનો ઉર્દુ તરજુમો પણ તલાશીમાં મળી આવ્યો હતો. ઉપરાંત ઈન્સ્પાયર નામે મેગેઝીન મળ્યું હતું, જેમાં ઓએસજી ગન સ્કૂલ ખાતે એકે-47ની તાલીમનો ફોટો અને ઓએસજી બોમ્બ સ્કૂલમાંથી એસિટોન પેરોક્સાઈડનો ઉપયોગ કરીને આઈઈડી બોમ્બ બનાવવાની પ્રક્રિયાની વિગતોના દસ્તાવેજો મળી આવ્યા હતા, એમ એટીએસે કોર્ટને જણાવ્યું હતું.
ઠગાઇ:ડેટિંગ એપ થકી ફ્રેન્ડશિપ વેપારીને 53 લાખમાં પડી
ડેટિંગ અપ થકી ફ્રેન્ડશિપ બન્યા પછી એક મહિલાએ 52 વર્ષીય વેપારીને છેતરામણી યોજનામાં રોકાણ કરવા માટે આકર્ષિત કર્યો હતો, જેમાં વેપારીને રૂ. 53 લાખનો ચૂનો ચોપડ્યો છે. હવે પોલીસ આ મહિલાની શોધ ચલાવી રહી છે. ફરિયાદીનો લોજિસ્ટિક્સનો વેપાર છે અને માર્કેટિંગ કંપની પણ ચલાવે છે. તે પરણવા માગતો હોવાથી ડેટિંગ એપ પર અકાઉન્ટ ક્રિયેટ કર્યું હતું. તેને એક મહિલા યુઝરની ફ્રેન્ડ રિક્વેસ્ટ પ્રાપ્ત થઈ હતી. તેણે પોતાની ઓળખ પ્રિયંકા ગુપ્તા અને જુહુની રહેવાસી તરીકે આપી હતી. તેણે પોતાના પતિથી અલગ થઈ ગઈ છે અને છ વર્ષની પુત્રી સાથે રહે છે એમ કહ્યું હતું.આ પછી બંને વચ્ચે વ્હોટ્સએપ પર ચેટિંગ શરૂ થઈ. થોડા સમય પછી મહિલાએ પોતે વેપારી સાથે પરણવા માગે છે અને નોકરિયાત સાથે નહીં એમ કહ્યું. આથી ટૂંક સમયમાં જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. 13 ઓક્ટોબરે મહિલાએ વેપારીને કહ્યું કે તેણે માર્કેટ એક્સેસ કંપની નામે પેઢી થકી ગોલ્ડ ટ્રેડિંગ કર્યું છે અને આકર્ષક વળતરો મળ્યાં હોવાથી તેણે પણ રોકાણ કરવું જોઈએ. આરંભમાં ફરિયાદીએ ખચકાટ અનુભવ્યો, પરંતુ રોકાણ કરવા તૈયાર થયો. મહિલાએ કંપનીના પ્લેટફોર્મ પર તેને માટે અકાઉન્ટ નિર્માણ કર્યું અને સમયાંતરે વેપારીએ રૂ. 53.30 લાખ જમા કર્યા હતા. અકાઉન્ટમાં વર્ચ્યુઅલ બેલેન્સ રૂ. 1.08 કરોડે પહોંચી હોવાનું જણાયું. તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીના અધિકારીએ જમા રકમના 30 ટકા પહેલા જમા કરાવવા પડશે એમ જણાવ્યું.તેટલી રકમની વ્યવસ્થા નહીં થતાં તેણે રોકાણની મૂળ રકમ રિફંડ કરવા કહ્યું, પરંતુ કંપનીએ ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું. આથી છેતરાયો છે એવું ધ્યાનમાં આવતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા વિવિધ ધારા હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જણાયું. તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીના અધિકારીએ જમા રકમના 30 ટકા પહેલા જમા કરાવવા પડશે એમ જણાવ્યું.તેટલી રકમની વ્યવસ્થા નહીં થતાં તેણે રોકાણની મૂળ રકમ રિફંડ કરવા કહ્યું, પરંતુ કંપનીએ ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું. આથી છેતરાયો છે એવું ધ્યાનમાં આવતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા વિવિધ ધારા હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કાર્યવાહી:પોલીસ કમિશનરના નામે મલાડના વેપારી પાસે એક કરોડ પડાવી લીધા
મલાડ પૂર્વના 39 વર્ષીય વેપારી પાસે પહેલાં મદદ માગી અને તે પછી ખોટા કેસની ધમકી આપીને જોઈન્ટ પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને નામે સમયાંતરે એક કરોડ રૂપિયા તેની પાસેથી પડાવી લીધા. આ ત્રાસથી કંટાળી વેપારી આત્મહત્યા કરવાના ઈરાદાથી ઘર છોડીને ચાલી ગયો હતો, પરંતુ તેને પોલીસે ઉગારી લીધો અને આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરી છે. આરોપીમાં ફેરિયા ગણેશ ખેડેકર અને ખેલુરામ ખેડેકર અને ડ્રાઈવર પ્રવીણ કાતેનો સમાવેશ થાય છે. ખેડેકરને વેપારીની દુકાન નજીક રહેતા હતા. ખેલુરામ ગણેશોત્સવમાં ડોનેશન કઢાવવા માટે વેપારી પાસે ગયો હતો. વેપારીએ ડોનેશન આપી દીધું હતું. આ પછી સપ્ટેમ્બરમાં આર્થિક તંગી હોવાનું કહીને વેપારી પાસે રૂ. 2100 લઈ ગયો. આમ, બે ત્રણ વાર મળીને વેપારીએ કુલ રૂ. 10,600ની મદદ કરી હતી. ચુકવણી યુપીઆઈ થકી કરી હતી. એક દિવસ વેપારીને જોઈન્ટ પોલીસ કમિશનરને નામે ફોન આવ્યો. ખેલુરામ હત્યા કેસમાં સંકળાયેલો છે અને તમે તેને રૂ. 10,600ની હત્યાની સોપારી આપી હતી એવું બહાર આવ્યું છે, એમ જણાવ્યું. વેપારી ભયભીત થયો અને ધરપકડ ટાળવા રૂ. 50,000 ચૂકવી દીધા.આરોપીઓએ બગીચામાં કામ કરતા એક વૃદ્ધિ સાથે મૈત્રી કેળવી હતી. તેના ફોન પરથી કોલ કરતા હતા. થોડા દિવસ પછી વેપારીને ફોન પર જણાવાયું કે ખેલુરામની હત્યા કરવામાં આવી છે, જેમાં તમારું નામ આવ્યું છે. ભીનું સંકેલવા માટે રૂ. 2 લાખ લીધા હતા. આ પૈસા વૃદ્ધ લેવા ગયો હતો, જે આરોપીઓના ઈરાદા વિશે અજાણ હતો.આ પછી પોલીસ અધિકારી અવિનાશ શિંદે બોલું છું. ખેલુરામની હત્યાની તપાસ કરી રહ્યો છું, જેમાં ભીનું સંકેલવું હોય તો રૂ. 7 લાખ આપો એમ જણાવ્યું હતું. થોડા દિવસ પછી કમિશનરને નામે કોલ આવ્યો અને એન્કાઉન્ટરથી બચવું હોય તો રૂ. 20 લાખ ચૂકવો એમ જણાવ્યું. આમ, સમયાંતરે વેપારીએ રૂ. 99.16 લાખ ચૂકવ્યા.જોકે તે છતાં આરોપીઓ સતત નવી નવી માગણી કરતા હોવાથી 15 ડિસેમ્બરે વેપારી આત્મહત્યા કરવાના ઈરાદાથી ઘર છોડી ગયો. આ અંગે જાણ થતાં ડીસીપી મહેશ ચિમટે, સિનિયર પીઆઈ મહેંદ્ર શિંદેની આગેવાનીમાં તપાસ અધિકારી અજિત દેસાઈ અને ટીમે વેપારીને દહાણુથી ઉગારી લીધો હતો, જે પછી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
રાજકીય વાતાવરણ ગરમાયું:ચૂંટણી નજીક આવતાં જ મરાઠી સામે ઉત્તર ભારતીય સંઘર્ષ ઊભો કરવા માટેના પ્રયાસ
મહારાષ્ટ્રમાં 29 શહેરની મહાપાલિકા ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઇ ચૂક્યું છે, ત્યારે સૌથી ચર્ચાસ્પદ મુંબઈ મહાપાલિકા માટે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. ચૂંટણીમાં ભાષાકીય અસ્મિતાનો મુદ્દો ફરી એક વાર કેન્દ્રસ્થાને આવતો દેખાઈ રહ્યો છે. સૌપ્રથમ મરાઠી એકતા અને અસ્મિતાના નામે શહેરમાં ઠેર ઠેર બેનરો જોવા મળ્યાં પછી હવે, છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી સામે ઉત્તર ભારતીય એવો સંભવિત સંઘર્ષ ઊભો કરવાની કોશિશ થઈ રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ધ્યાનમાં લેતાં મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઉત્તર ભારતીય બટોગે… તો પિટોગે જેવાં લખાણવાળાં બેનરો દેખાવા લાગ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મહાપાલિકાઓની ચૂંટણીઓની જાહેરાત કરી, તે દિવસથી મુંબઈના કેટલાક ભાગોમાં રહસ્યમય પોસ્ટરો દેખાવા લાગ્યાં, જેમાં શહેરની મરાઠી ભાષી વસતિને હવે નહીં ક્યારેય નહીં એવી અપીલ કરતા સંદેશ જોવા મળે છે. ગિરગાંવ અને દાદર જેવા વિસ્તારોમાં જોવા મળેલાં પોસ્ટરો પર ઓળખને પ્રોત્સાહન આપતા અને રાજકીય ગતિશીલતાને પ્રોત્સાહન આપતા ભાવનાત્મક સૂત્રો લખેલા હતા. એક તરફ સાંકેતિક રીતે ભાષાકીય રીતે મતદારોને આકર્ષવાની શરૂઆત થઈ છે, જેમાં મરાઠી લોકો, જાગો, આ તમારા અસ્તિત્વ માટે લડાઈ છે, હવે નહીં તો ક્યારેય નહીં એવું સૂચવતાં પોસ્ટરો ઝળકી રહ્યાં છે. દાદરમાં બીજા પોસ્ટરમાં લખ્યું હતું, જાગો મરાઠી લોકો, મુંબઈ બચાવો. જ્યારે પોસ્ટરોમાં કોઈ રાજકીય પક્ષનાં નામ કે પ્રતીકો નથી ત્યારે સંદેશને મહાપાલિકા ચૂંટણી પહેલાં રાજકીય અપીલ તરીકે વ્યાપકપણે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. બેનરો પર પક્ષ કે સંસ્થાનું નામ નહીં : સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ ઝુંબેશ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે ચૂંટણી પહેલાં તેમના લાંબા સમયથી ચાલતા મરાઠી-પ્રથમ એજન્ડાને આગળ ધપાવશે. બીજી તરફ મુંબઈમાં ઉત્તર ભારતીય નાગરિકોને પણ સાંકેતિક રીતે બેનરો દ્વારા જગાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, જેમાં ઉત્તર ભારતીય બટોગે તો પિટોગે એમ લખવામાં આવ્યું છે. રાજકીય સૂત્રોના મતે આ તમામ બેનરોમાં કોઈ પક્ષ કે સંસ્થાનું નામ નહીં હોવા છતાં આ બેનરો ભાજપ દ્વારા લગાવવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.
તપાસ:આદિવાડામાં ઝાડીઓમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીનગરના આદિવાડા ગામમાં ઝાડીઓમાંથી એક 40 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કચરો વીણવાનું કામ કરતા એક શ્રમજીવીને ઝાડીઓમાંથી દુર્ગંધ આવતા શંકા ગઈ હતી. તપાસ કરતા ત્યાં એક પુરુષનો મૃતદેહ પડેલો હોવાનું જાણવા મળ્યું હતું. આદિવાડા ગામની ઝાડીઓમાં કોહવાયેલો મૃતદેહ જોઈને સફાઈકર્મી ગભરાઇને પોલીસને જાણ કરી હતી,આથી પોલીસ તુરંતજ ઘટના સ્થળે આવી પહોંચી હતી, આદિવાડા ગામની ઝાડીમાંથી 40 વર્ષીય શ્રમજીવીની કીડાથી ખદબદતી અને અતિશય દુર્ગંધ મારતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે,લાશ એટલી હદે વિકૃત થઈ ગઈ હતી અને તેના પર એટલા કીડા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલ હતી,ત્યારબાદ પોલીસે પાણીનું ટેન્કર મંગાવી લાશને કીડાઓથી મુક્ત કરાવી હતી,ત્યારબાદ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે પોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિજયજી ચેહુજી મકવાણા (ઉં.વ. 40, રહે. આદિવાડા) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ વિજયજી મિસ્ત્રી કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની વિજૂજી અને એક પુત્ર રુદ્રાક્ષ છે. વિજયજી દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા.જેના કારણે ઘરમાં અવારનવાર કંકાસ થતો હતો. આ કંકાસને લીધે તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે ગયા નહોતા. પ્રાથમિક તપાસમાં લાશ અંદાજે ચાર દિવસ જૂની હોવાનું જણાયું છે. સેક્ટર-21 પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ કરાવવા સિવિલ હોસ્પિટલ ખસેડી છે. વિજયજીનું મોત દારૂના વધુ પડતા સેવનથી થયું છે, કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર તે PM રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
બેદરકારીનો માર્ગ:રોડ કરતાં સર્વિસ રોડ 6 ઈંચ નીચો, લોકોને ઢાળ ન દેખાતાં મહિનામાં 17 અકસ્માત થયા
બાલાપીરથી ઝુંડાલ સર્કલ સુધીનો આશરે 3 કિલોમીટર લાંબો માર્ગ, જે 8 લેન તરીકે વિકસાવાઈ રહ્યો છે, તે હજુ સુધી 2 વર્ષ પછી પણ પૂરો થયો નથી. 91 કરોડના ખર્ચે બની રહેલો આ રોડ તંત્રની બેદરકારીનો ઉત્તમ નમૂનો બની ગયો છે. અધૂરા કામના કારણે રસ્તો અનેક જગ્યાએ સમતળ નથી. કેટલીક જગ્યાએ 6 ઇંચ જેટલો લેવલ ફેર જોવા મળે છે. મેઇન રોડથી સર્વિસ રોડ તરફની સાઇડ સોલ્ડર બનાવી નહીં હોવાથી સર્વિસ રોડનું લેવલ મેઇન રોડથી 6 ઇંચ નીચું છે. પરિણામે ટૂ વ્હીલરચાલકો સ્લીપ થવાના બનાવ વધી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું કે એક મહિનામાં જ આ માર્ગ પર 17 જેટલા અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતો 2 અલગ વાહનોની ટક્કરથી નહીં પરંતુ મોટા ભાગે ટૂ વ્હીલર ચાલકોનું સંતુલન બગડવાથી થયા છે. વાહનચાલકોને રસ્તામાં ક્યાં નીચો ભાગ આવી જાય છે તેનો ખ્યાલ આવતો નથી અને વાહન નિયંત્રણમાં રહેતું નથી. પરિણામે અકસ્માત સર્જાય છે. આ માર્ગની કામગીરી શક્ય એટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો જ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પરનું જોખમ દૂર થશે. અને અકસ્માતની થવાની શક્યતા વધી જાય છે. સ્થાનિકો તાત્કાલિક રીતે આ રસ્તાને સમતળ કરવાની માંગ કરી રહ્યા છે. અકસ્માત ઝોન બનવાનાં 4 કારણ તંત્રની બેદરકારીને કારણે 2 વર્ષ પૂરાં થવા છતાં કામ અધૂરું છે રોડ અને સર્વિસ રોડ વચ્ચે બરાબર લેવલિંગ કરાયું નથી રહેણાક વિસ્તાર હોવા છતાં સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધારું છે અનેક લોકો રોંગ સાઇડ પર વાહન ચલાવતા હોય છે ટ્રાફિક નિયમન ન હોવાથી લોકો રોંગસાઇડમાં આવે છે આ સમગ્ર રસ્તો હાઈવે છે. આસપાસમાં રહેણાક અને વાણિજ્યિક વિસ્તારો પણ છે. એટલે મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે પરંતુ ટ્રાફિક નિયમનની કોઈ વ્યવસ્થા નથી. ગમે ત્યારે માલવાહક વાહનો રોંગ સાઇડ પર પસાર થાય છે. જેથી અકસ્માતો સર્જાય છે. સ્ટ્રીટલાઇટના અભાવે રાત્રિના સમયે માર્ગ જોખમી બન્યોઆ વિસ્તાર રહેણાક હોવાથી તેમાં રોડ પર પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટ હોવી નિયમ મુજબ જરૂરી છે. કામ પૂરું થયું નથી એટલે અહીં સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી નથી. આ કારણે રાત્રે આ રસ્તો વધુ જોખમી બને છે અને અંધારાને કારણે અકસ્માતનું પ્રમાણ વધી જાય છે.
આયોજન:ગિફ્ટ સિટીમાં સાઇન બોર્ડ મૂકવા પાછળ 10 કરોડ ખર્ચાશે
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં અવરજવર વધુ સરળ બને તે માટે નવી દિશા દર્શક અને માહિતી આપતી સાઇન બોર્ડ વ્યવસ્થા સ્થાપિત કરવાની તૈયારી કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ઓથોરિટીએ મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને મહત્વપૂર્ણ ઇમારતો પર આધુનિક વેફાઇન્ડિંગ સાઇનેજની ડિઝાઇન, ઉત્પાદન અને સ્થાપન માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટ પર અંદાજે ₹8 થી ₹10 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ રકમ મજબૂત એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર, ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી અને લાઇટિંગ વ્યવસ્થામાં ખર્ચાશે જેથી સાઇન બોર્ડ લાંબા સમય સુધી ઉપયોગી રહી શકે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રોકાણ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ નાગરિક સુવિધાઓ સુધારવાની યોજનાનો ભાગ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઓફિસમાં આવનારા કર્મચારીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓને ઓફિસો, નાણાકીય સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સુવિધાઓ શોધવામાં સરળતા રહેશે. સાથે જ સમય બચશે અને ગેરસમજ ઘટશે.
ગાંધીનગરમાં બનાવવામાં આવી રહેલો સ્ટેટ ઓફ આર્ટ વેસ્ટ ટુ વન્ડર પ્રોજેક્ટ ફરી વિવાદમાં પડ્યો છે. 18 કરોડ રૂપિયાના ખર્ચનો આ પ્રોજેક્ટ હવે ઇન્દ્રોડામાં નહીં બને. સ્થાનિકોના વિરોધના પગલે ઇન્દ્રોડામાં કામ અટકાવી દેવામાં આવ્યું છે. અહીં અડધી બનેલી પ્રતિકૃતિઓ હવે નવા સ્થળે લઇ જવામાં આવશે. જોકે હજુ સુધી નવા સ્થળ અંગેનો આખરી નિર્ણય લેવાયો નથી. આ જગ્યા માટે ત્રીજી વખત સ્થળ નક્કી કરવાની નોબત આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લોખંડ, સ્ટીલ અને પતરાના ભંગારમાંથી શહેરમાં વેસ્ટ ટુ વન્ડર ટુરીસ્ટ પાર્ક બનાવવાનું આયોજન કરાયું છે. આ માટે બજેટમાં જોગવાઇ પણ કરવામાં આવી હતી. શહેરના વીવીઆઇપી જ- માર્ગ પર ટૂરિસ્ટ સર્કિટ વિકસાવવાના ભાગરૂપે સરિતા ઉદ્યાનની બાજુમાં ઇન્દ્રોડા ગામના પ્રવેશદ્વારે ખુલ્લી જમીનમાં આ પાર્ક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ જમીન માર્ગ અને મકાન હસ્તક હતી પરંતુ આ પાર્ક માટે ઉપયોગ કરવા મહાનગરપાલિકાને મંજૂરી અપાઇ હતી. પરંતુ વિકાસ વંચિત ઇન્દ્રોડા ગામના લોકો દ્વારા આ જગ્યા પર ટુરિસ્ટ પાર્ક બનાવવાના બદલે કોમ્યુનિટી હોલ અથવા ગ્રામજનોને ઉપયોગી થાય એવી સુવિધા વિકસાવવાની માગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકીય આગેવાનોએ પણ ઝંપલાવતા આખરે મહાનગરપાલિકાને ઇન્દ્રોડામાં આ પ્રોજેક્ટનું કામ બંધ રાખવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. હવે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ દ્વારા આ પ્રોજેક્ટ ક્યાં લઇ જવો તે અંગેનો આખરી નિર્ણય સંયુક્ત રીતે લેવાશે. મંદિરો, ઇતિહાસ અને બાળકોને આકર્ષતી 30 પ્રતિકૃતિઓ બને છેવેસ્ટ ટુ વન્ડર પાર્ક માટે બિનઉપયોગી ભંગાર અને લોખંડમાંથી વિવિધ પ્રકારની 30 જેટલી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી રહી છે. જેમાં 40 ફૂટ ઉંચુ દ્વારકાધીશ મંદિર, 30 ફૂટ ઉંચુ સોમનાથ મંદિર, 27 ફૂટ ઉંચો લક્ષ્મીવિલાસ પેલેસ, જૂનાગઢનો મહોબત મકબરો, ચિલ્ડ્રન પાર્ક માટે 30 ફૂટ ઉંચો હાથી, સિંહ, ડાયનાસોર સહિત પશુ પક્ષીઓની પ્રતિકૃતિ તૈયાર કરાઇ રહી છે. વડોદરા, આંધ્રપ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળના કારીગરો આ પ્રકારના સ્કલ્પચર બનાવી રહ્યા છે. વિરોધ પછી અત્યારે માત્ર પ્રતિકૃતિનું કામ થઈ રહ્યું છે300 ટન ભંગારનો ઉપયોગ થશે : આ સ્કલ્પચર તૈયાર કરવા કુલ 300 ટન ભંગારનો ઉપયોગ થશે. 20થી વધુ મંદિરો અને પુરાતત્વીય સ્થળોની પ્રતિકૃતિ તૈયાર કરાશે. અડાલજ અને રાણકી વાવનું સ્કલ્પચર અન્ડરગ્રાઉન્ડ બનશે. ઈનસાઈડ;એસજી હાઇવેથી સ્થળ બદલ્યું ને વિવાદ શરૂ થયોસૌપ્રથમ આ પાર્ક તારાપુર ટીપી-29માં એસજી હાઇવેને અડીને તૈયાર કરવામાં આવનાર હતો. ટુરીસ્ટ સર્કિટ બનાવવાના ભાગરૂપે મહાપાલિકાની પોતાની જમીન નહીં હોવા છતાં ઇન્દ્રોડામાં પાર્ક બનાવવાનો નિર્ણય લઇ સ્થળ બદલવામાં આવ્યું હતું. શરૂઆતથી જ સ્થાનિકોનો વિરોધ હતો તેને અવગણીને કામ શરૂ કરી દેવાયું હતું. પરંતુ વિરોધ વધુ ઉગ્ર બનતાં આખરે કામ સ્થગિત કરાયું છે.
રહીશો પરેશાન:પાઇપલાઇન તૈયાર છતાં ન્યૂ ચાંદખેડા, ઝુંડાલમાં નર્મદાનું પાણી પહોંચ્યું નહીં
ગાંધીનગર મનપા વિસ્તારમાં સમાવિષ્ટ ન્યૂ ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નેટવર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આજે પણ નર્મદાનું પાણી શરૂ થયું નથી. પરિણામે અહીંની 400થી વધુ સોસાયટીઓ હજુ પણ ઉંચા TDS વાળુ બોરવેલનુ પાણી પીવે છે. ઊંચા TDS વાળું પાણી શરીર માટે અનુકૂળ નથી અને સમય જતા તે પાચન, ત્વચા અને કિડની સંબંધિત તકલીફોનું કારણ બની શકે છે. આવા પાણીના કારણે ઘરના નળ, પાઇપલાઇન, પાણીની ટાંકી અને ઘરેલુ સાધનોમાં જમા થતું ખારાશનુ પડ વધે છે. જેના કારણે પાઇપ જામ થવી, નળ બગડવા અને પાણીના દબાણમાં ઘટાડા જેવી સમસ્યાઓ થાય છે. પાઇપલાઇન તૈયાર હોવા છતાં નર્મદાનું પાણી ન આવતાં સ્થાનિક લોકોમાં એક જ પ્રશ્ન છે જ્યારે પાઇપલાઇનની વ્યવસ્થા તૈયાર છે, તો પાણી શરૂ થવામાં વિલંબ કેમ? સ્થાનિકોનું માનવુ છે કે નર્મદા કેનાલનું પાણી શરૂ થાય તો પાણીની ગુણવત્તા સુધરશે અને લાંબા ગાળાની તકલીફોમાંથી રાહત મળશે. હાલ સ્થિતિ એવી છે કે સુવિધા ઉભી છે, પરંતુ તેનો લાભ મળતો નથી. સ્થાનિકો ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારના લોકો હવે સલગ્ન વિભાગો પાસેથી કેટલા સમયમા આ પ્રશ્નનુ નિરાકરણ આવશે તે બાબતે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા છે, જેથી ઊંચા TDSવાળું બોરવેલ પાણી વાપરવાની મજબૂરીનો અંત આવશે.
છેતરપિંડી:ઘરેબેઠાં કમાણીના નામે વૃદ્ધાના 8 લાખ સાઇબર ગઠિયાએ પડાવ્યા
ડિજિટલ અરેસ્ટ અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાદ ઘરે બેસીને પૈસા કમાવવાની લાલચ આપીને સિનિયર સિટિઝનોને શિકાર બનાવવાનું સાઈબર ગઠિયાઓએ શરૂ કર્યું છે. કોટેશ્વર દેવ સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષ મયનસિંઘ(60) પ્રાઈવેટ ટયુશન કરે છે. તા.10 ડિસેમ્બરે એ તેમણે ઈન્સ્ટાગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમની જાહેરા ઉપર કલીક કરતા પ્રિયંકાસિંઘના વોટસએપ ગૃપમાં એડ થયા હતા. પ્રિયંકાસિંઘે લીંક મોકલી હતી. જેમાં ટેલિગ્રામ ઉપર હોટલને રેટીંગ આપવાના ટાસ્ક પૂરા કરીને પૈસા કમાવવાની વાત કરી હતી. જેથી સંતોષ સિંઘે રજિસ્ટ્રેશન કરાવી કામ કરતા એક હજાર રૂપિયા ભરતા નફા સાથે રૂ.1350 અને રૂ.2 હજાર સામે રૂ.3900 પાછા મળતા હતા. ગોલ્ડના ઓપ્શનમાં 60 સેકન્ડમાં પૈસા ભરવાના હોવાથી ટુકડે ટુકડે રૂ.8.15 લાખ ભર્યા હતા. બાદ રૂ.13,340 પાછા આપી બાકીના રૂ.8.02 લાખ પાછા નહીં આપી ઠગાઈ કરતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સોસિયલ મિડિયા થકી આર્થિક વ્યવહાર કરવો નહીંપોલીસ અવાર નવાર પ્રચાર કરી રહી છે કે,સોશિયલ મીડિયામાં કોઈ વ્યકિત સંપર્કમાં આવે તો તેની સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો નહીં. પહેલા તે વ્યકિતને રુબરુ મળવાનો આગ્રહ રાખવો અને રુબરુ ન મળાય તો પણ તે વ્યકિત વિશે થોડી તપાસ કરી લેવી જોઈએ. ત્યારબાદ પણ જો તે રોકાણ કે અન્ય કોઈ પ્રકારે પૈસા માંગે તો તે કરવાનું ટાળવું જોઈએ. ક્રેડિટ સ્કોર ઓછો છે, બીજા રૂ.3.80 લાખ ભરોસંતોષસિંઘે ગોલ્ડની ખરીદીના ટાસ્ક પૂરા કરવાના બહાને રૂ.2.81 લાખનું રોકાણ કરી દીધુ હતુ. ત્યારબાદ તેમણે પૈસા પાછા માંગતા સામેથી તેમને કહ્યું હતુ કે તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી પૈસા પાછા નહીં મળે. તેમ છતાં જો પૈસા જોઈતા હોય તો રૂ.3.80 લાખ ભરવા પડશે. જેથી પૈસા પાછા લેવા માટે સંતોષસિંઘે રૂ.3.80 લાખ ભરી દીધા હતા.
ગોહિલવાડની શાન:કળા, સંસ્કાર અને દરિયા કિનારાનું અદભૂત નગર - આપણું ભાવેણું'!
સૌરાષ્ટ્રના હૃદય સમાન અને મહારાજા ભાવસિંહજી દ્વારા સ્થાપિત ભાવનગર શહેર પોતાની આગવી ઓળખ અને મહેમાનગતિ માટે જાણીતું છે. માત્ર ભૌગોલિક વિસ્તાર નહીં, પણ એક 'અહેસાસ' ગણાતું આ શહેર શિક્ષણ, સંસ્કૃતિ અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભાવનગરની મુખ્ય વિશેષતાઓ:સંસ્કારી નગરી: ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદોના કારણે ભાવનગર ગુજરાતની 'સાંસ્કૃતિક રાજધાની' ગણાય છે. અહીં સાહિત્ય અને કળા લોકોના લોહીમાં વસેલી છે.પ્રવાસન વૈવિધ્ય: અહીં પહાડ પર બિરાજમાન તખ્તેશ્વર મહાદેવ આખા શહેરનો નજારો આપે છે, તો સમુદ્ર મધ્યે આવેલું નિષ્કલંક મહાદેવ શ્રદ્ધાનું પ્રતિક છે. પ્રકૃતિપ્રેમીઓ માટે વેળાવદરનું કાળિયાર અભયારણ્ય અને સાંજ માણવા માટે બોરતળાવ (ગૌરીશંકર સરોવર) આકર્ષણના કેન્દ્રો છે.સ્વાદ રસિયાઓનું સ્વર્ગ: ભાવનગરની સવાર વિશ્વવિખ્યાત ભાવનગરી ગાંઠિયા' વિના અધૂરી ગણાય છે. વિકાસનું એન્જિન: એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ 'અલંગ' ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન છે, જે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. ટુંકમાં, વિક્ટોરિયા પાર્ક જેવી હરિયાળી અને દરિયા જેવું વિશાળ હૃદય ધરાવતું ભાવનગર તેની સાદગી અને આત્મીયતાથી દરેક મુલાકાતીને કાયમ માટે પોતાના બનાવી લે છે.
‘આરોગ્ય’ સંસ્થાના 5 વર્ષની ઉજવણી:ભાવનગરમાં રાહત દરે મેડિકલ કેમ્પ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન
માત્ર ₹20 માં બ્લડ ટેસ્ટ કેમ્પ અને માયાભાઈ આહિર-જીગ્નેશ કવિરાજનો ભવ્ય લોક ડાયરોઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય' સંસ્થાના પાંચ સફળ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગરના આંગણે સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાશે, જેમાં આગામી 27 ડિસેમ્બરના રોજ કાળુભા રોડ સ્થિત લેબોરેટરી ખાતે માત્ર ₹20 ના રાહત દરે ભવ્ય બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જ્યારે 28 ડિસેમ્બર, રવિવારે રાત્રે 7:00 કલાકે વિજયરાજનગરની પ્રગતિ મંડળની મોટીવાડી ખાતે સુપ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહિર અને જીગ્નેશ કવિરાજના સૂર-સાહિત્ય સાથે ભવ્ય લોક ડાયરો તથા મહાનુભાવોનો સત્કાર સમારંભ યોજાશે. જનસેવા એ જ પ્રભુસેવાના મંત્ર સાથે કાર્યરત આ સંસ્થા દ્વારા આયોજિત આ બંને કાર્યક્રમોમાં ભાવનગરની ધર્મપ્રેમી જનતાને પધારવા ટીમ આરોગ્ય દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરેલી ’પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ હેઠળ ગુજરાતે મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં હાલમાં આ યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1,879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યાંકના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ યોજના થકી રાજ્યના નાગરિકોએ રૂફટોપથી વીજળી પેદા કરીને કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે. આ યોજના અન્વયે સુરત 65,233 લાભાર્થી સાથે પ્રથમ ક્રમે છે. તે પછી અમદાવાદમાં 59,619 લાભાર્થી, રાજકોટમાં 56,084, વડોદરામાં 43,656 અને જુનાગઢમાં 22,858 લાભાર્થી નોંધાયા છે. અત્યાર સુધીમાં 11.32 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત કરાઇ જેની સંયુક્ત ક્ષમતા 6,315 મેગાવોટ થાય છે.
ભાવનગર શહેરમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષીકા રજા ઉપર ગયેલા જે દરમિયાન આજે તેઓ રજીસ્ટરમાં સહી કરવા મામલે એક અન્ય મહિલા શિક્ષીકાએ બોલાચાલી કરી હતી અને મહિલા શિક્ષકે આચાર્યને ચડામણી કરતા આચાર્યએ મહિલા શિક્ષક દંપતિ સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી, દંપતિને લાફા ઝીંકી દઇ, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે આચાર્યએ શાળાના સ્ટાફની બોલાવેલી મિટીંગમાં, શાસનાધિકારીની મિટીગમાં થયેલ નિર્ણયોની વાત કરતા હતા જે દરમિયાન શિક્ષક દંપતિએ ઉગ્ર થઇ બોલાચાલી કરી, ધમકી આપ્યાની બોરતળાવ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવા પામી હતી. ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા પ્રીતિબેન દિલીપસિંહ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમન પતિ દિલીપસિંહ બંન્ને ચિત્રામાં આખલોલ જકાતનાકા મહાદેવ નગર વિસ્તારમાં આવેલી શ્રી પ્રમુખ સ્વામિ મહારાજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. ગઇકાલે પ્રિતિબેન શાળાના રજીસ્ટરમાં સહી કરતા હતા. તે દરમિયાન સહકર્મી મહિલા શિક્ષીકા હેતલબેન ભેડાએ પ્રીતિબેનને કહેલ કે, તમારે અડધી સી.એલ. રજા ઉધારવાની બાકી છે. જેને લઇને પ્રીતિબેને હું આચાર્ય સાથે વાત કરી લઇશ તેમ કહેતા હેતલબેને બોલાચાલી કરી હતી. અને બાદમાં હેતલબેને આચાર્ય પુનીતભાઇ ઉપાધ્યાયને ચડામણી કરતા, આચાર્ય પુનિત ઉપાધ્યાયે પ્રીતિબેન અને તેમના પતિ દિલીપસિંહને સાથે બોલાચાલી કરી, ધોલ થપાટ ઝીંકી, ઇજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે શાળાના આચાર્ય પુનિતભાઇ રમેશભાઇ ઉપાધ્યાયે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાસનાધિકારી મિટીંગમાં ગયા હતા જે દરમિયાન શાળામાં હેતલબેન ભેડા સાથે શિક્ષક દંપતિ પ્રીતિબેન અને દિલીપસિંહ ચૌહાણે ઝઘડો કરતા હોવાનો તેમના પટ્ટાવાળા ભાઇએ આચાર્યને ફોન કરેલ. જે બાદ શાળાએ પહોંચેલા આચાર્ય પુનિતભાઇ ઉપાધ્યાયે શાળામાં એક મિટીંગનું આયોજન કરેલ અને તે મિટીંગમાં શાસનાધિકારીની મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની ચર્ચા કરતા હતા. જે દરમિયાન પ્રીતિબેને કહેલ કે, તમને સ્કુલમાં બીજા સ્ટાફના માણસો સારા લાગે છે અને તું બહુ ધ્યાન રાખે છે અને મારી હાફ સી.એલ. શું કામ મુકી છે તેમ જણાવી ઝઘડો કરેલ અને બાદમાં આચાર્યની ઓફિસમાં જઇ ફરી ઝઘડો કરી, હાજરી પત્રક ખેંચવાની કોશીશ કરી, આચાર્ય પુનિતભાઇને મારી સી.એલ. પાછી ખેંચી લે તેમ કહી, આચાર્ય સાથે ઝપાઝપી કરી, મારમારી કરી હોવાની આચાર્યએ શિક્ષક દંપતિ પ્રીતિબેન અને દિલીપસિંહ ચૌહાણ વિરૂદ્ધ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ખાતાકીય તપાસ કરાશે, પગલાં લેવાશેશાળા નં. 53ના શિક્ષિકા સામે ખોટી બદલી સંદર્ભેની વિજિલન્સ તપાસ હતી. આચાર્ય દ્વારા કરાઈ હતી. ખોટી બદલી થઈ છે પરંતુ તત્કાલિન શાશનાધિકારી પણ નિવૃત થઈ ગયાં છે. મારામારી પ્રકરણે હાજર શિક્ષકોના નિવેદનો લેવાશે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. ત્યારબાદ ખાતાકીય તપાસમાં જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. > એમ.બી. બડમલીયા, શાસનનાધિકારી સપ્ટેમ્બર માસમાં શાળાના આચાર્યને એવોર્ડ મળેલોગત સપ્ટેમ્બર માસમાં શાળાના આચાર્ય પુનિતભાઇ ઉપાધ્યાયને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. આ મામલે શાળાના આચાર્ય પુનિતભાઇ જણાવ્યું હતું કે, શિક્ષીકા પ્રીતિબેન અને દિલીપસિંહ ચૌહાણે કોઇ તથ્ય વગર જ ઝઘડો કરી, મારા ઉપર ખોટા આક્ષેપો લગાડ્યા છે. શિક્ષીકા ગેરકાયદેસર રીતે બદલી કરીને આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુઝિવ:નવા પુસ્તકોથી શિક્ષણ પદ્ધતિ બદલાશે, માત્ર થિયરી નહીં પ્રવૃત્તિથી બાળકોને ભણાવાશે
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 2થી 11માં 24 પાઠ્યપુસ્તકો બદલાશે. અત્યાર સુધી દરેક વિષયોમાં માત્ર થિયરી આધારીત અભ્યાસક્રમ ચાલતો હતો, પરંતુ હવે પાઠ્યપુસ્તકોમાં થિયરી પહેલા બાળકો માટે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવાનું રહેશે. જેથી બાળકોમાં અભ્યાસનું ભારણ ઘટશે. જેથી અભ્યાસમાં મુશ્કેલી ઓછી થશે. નવા પુસ્તકો 2026ના નવા શૈક્ષણીક વર્ષથી લાગુ કરાશે. હાલમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના પુસ્તકો ગુજરાતમાં તૈયાર કરાયા છે, જ્યારે કે અન્ય તમામ NCERTના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. બાળકો ‘દીક્ષા’ પોર્ટલ પરથી અભ્યાસ કરી શકશેપાઠ્યપુસ્તકમાં ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. જેને કેન્દ્ર સરકારની એપ્લિકેશન દીક્ષા એપથી સ્કેન કરતા તે પ્રકરણની તમામ માહિતી ખુલશે. સાથે જ બાળકોને પ્રવૃત્તિ દ્વારા કઇ રીતે અભ્યાસ કરી શકાય તેની માહિતી પણ આપવામાં આવે છે. જેથી બાળકો અને વાલી આ એપ્લિકેશનથી ઘરે બેઠા જ અભ્યાસ કરી શકશે.
ઠગાઈ:પરપ્રાંતિય યુવક સાથે રોકાણના નામે રૂપિયા 2.82 લાખની ઠગાઇ કરી
ભાવનગર શહેરમાં રહેતા એક પરપ્રાંતિય યુવકને ફેસબુકના માધ્યમથી એક યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને જે બાદ વોટ્સએપમાં વેબસાઇટની લીંક મોકલી, લીંક ખોલાવી, સૌ પ્રથમ ડોનેશન લીધું હતું અને બાદમાં નફાની લાલચ આપી કટકે કટકે જુદી જુદી રકમનું જુદા જુદા બેન્ક ખાતામાં રોકાણ જમા કરાવડાવી, રોકાણ કરાવ્યું હતું. જે બાદ આ યુવક સાથે પોલીસે યુવતી તેમજ ખાતા ધારકોએ રોકાણ નામે ઠગાઇ આચર્યાની જાણ થતાં યુવકે આ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને લોર્ડ્સ હોટલ બુધેલ ખાતે મેનેજર તરીકે નોકરી કરતા વિપુલભાઇ પુષ્પેન્દ્રસિંઘ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડાક સમય અગાઉ તેમના ફેસબુક એકાઉન્ટમાં ચરીથા રેડ્ડી નામની કોઇ યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી અને બાદમાં બંન્ને ફેસબુકના માધ્યમથી વાતો કરતા હતા. જે દરમિયાન આ યુવતીએ તેમને વિશ્વાસમાં લઇ રૂા. 1150નું ડોનેશન લીધું હતું અને બાદમાં એક વેબસાઇટની લીંક મોકલી હતી અને આ લીંક ખોલાવી તે લીંકમાં રોકાણ કરશે તો નફો મળશે તેમ કહી, જુદી જુદી રકમનું કટકે કટકે, જુદા જુદા બેન્ક ખાતામાં રૂા. 2,82,750 જેટલી મસમોટી રકમનું રોકાણ કરાવી આજદિન સુધી મુળ રકમ તેમજ નફો પરત ન કરી, ઠગાઇ આચર્યાની જાણ વિપુલભાઇને થતાં વિપુલભાઇએ અજાણી યુવતી તેમજ જુદા જુદા ખાતા ધારકો વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદની પોળોમાં આવેલાં 121 પ્રાચીન જિનાલયનાં ક્યારેય દર્શન ન કર્યાં હોય તેવા અશક્ત વડીલો દર્શન કરી શકે એ માટે જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્નારા 28 ડિસેમ્બર ને રવિવારથી ‘જિનાલય દર્શનયાત્રા’નો પ્રારંભ કરાશે. પછીથી દર રવિવારે આ યાત્રા થકી 65 કે તેથી વધુ વયના વડીલો દેરાસરનાં દર્શન કરી શકશે. આ નિ:શુલ્ક યાત્રા માટે પ્રાયોગિક ધોરણે 5 રિક્ષા નક્કી કરાઈ છે. 1 રિક્ષામાં 3 વ્યક્તિ બેસી શકે, એ રીતનું આયોજન કરાયું છે. સવારે 8.30થી 10.30 સુધીનો યાત્રાનો સમય નિર્ધારિત કરાયો છે. આ માટે સોમવારથી શુક્રવાર સુધી સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે 200 રૂપિયા રીફન્ડેબલ ફી ભરીને સંસ્થાના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. યાત્રામાં આવનારા વડીલોનું તિલક કરીને સન્માન કરાશ અને દેરાસરની પુસ્તિકા તથા નાસ્તો પણ અપાશે. રિક્ષા વડીલોને ઘરેથી લઈ જશે અને ઘરે મૂકી જશેજિનાલય દર્શનયાત્રા કરવા ઇચ્છતા વડીલો નોંધણી કરાવશે તે પછી રિક્ષા તેમને ઘરે લેવા જશે અન દર્શન કરાવ્યા પછી પરત ઘરે મૂકી જશે. જોકે નજીકના વિસ્તારમાંથી વડીલો આવશે તો એક નિર્ધારિત સ્થળે લેવા-મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઝવેરીવાડનાં જિનાલય દર્શનથી યાત્રાનો પ્રારંભપ.પૂ.આ.દે.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.એ કરાવેલા સરવે પ્રમાણે પોળોમાં 121 જિનાલય છે અને તેના 12 રૂટ બનાવાયા છે. તેમાં ઝવેરીવાડના રૂટ-1થી યાત્રા શરૂ કરાશે. આ રૂટ પર રીલીફ રોડ પર શાંતિનાથ જિનાલય, નિશા પોળનાં જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય, વાસુપૂજ્ય સ્વામી જિનાલય, શાંતિનાથ જિનાલય, લહેરિયા પોળનું મહાવીર સ્વામી જિનાલય, ઝવેરી પોળનાં મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ ગૃહ જિનાલય, સોદાગરની પોળ અને ચૌમુખજીની પોળનાં શાંતિનાથ જિનાલય, ચૌમુખજીની પોળનું અજિતનાથ જિનાલય, સંભવનાથની ખડકીનાં સંભવનાથ જિનાલય, વાઘણપોળનાં અજિતનાથ જિનાલય, આદેશ્વર જિનાલય, ચિંતામણિ પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી જિનાલયનાં દર્શન કરાવાશે.
ભાસ્કર એક્સક્લુઝિવ:200 વ્યક્તિ પાસેથી રૂ. 51 લાખનું દાન લઈ 100 કરોડનું શિક્ષણ ભંડોળ ઊભું કરાશે
નિકોલ વિસ્તારમાં 28 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું વિશાળ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. સંમેલનમાં સમાજની શક્તિના દર્શન સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો અનોખો સંગમ જોવા મળશે. સમાજના અગ્રણી દિનેશ કોઠિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં નવા વરાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ અને સમાજના મંત્રીઓનું ભવ્ય સન્માન કરાશે. તે પછી સમાજ માટે શિક્ષણની સાથે મહિલાઓ માટે નવી યોજનાઓ અંગે જાહેરાત કરાશે. તેમાં સમાજે 2 વર્ષ માટે એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. જે મુજબ, સમાજના 200 જેટલા સક્ષમ લોકોને તૈયાર કરી, પ્રત્યેક પાસેથી 51-51 લાખ રૂપિયાનું દાન મેળવી કુલ 100 કરોડ રૂપિયાનું શિક્ષણ ફંડ ઊભું કરવામાં આવશે. આ ફંડનો સીધો ઉપયોગ સમાજના આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ડૉક્ટર, એન્જિનિયર કે UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ થવા માટે કરવામાં આવશે. એ સિવાય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અધિવેશન કરવાની સાથે વિવિધ યોજનાઓથી માહિતગાર કરાશે. સમાજ ઉત્કર્ષના સંકલ્પ સાથે મહાઆરતી કરાશેમહાસંમેલનમાં સમાજલક્ષી મહત્ત્વની જાહેરાતો કરાશે, જેનો ઉદ્દેશ્ય સામાજિક એકતા અને પ્રગતિનો છે. કાર્યક્રમના અંતે સંધ્યા સમયે મા ખોડલ અને મા અન્નપૂર્ણાની ભવ્ય મહા આરતી યોજાશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમાજના હજારો લોકો મોટી સંખ્યામાં ઊમટી પડશે. સમાજના ખર્ચે ગામડાના યુવાનો શહેરમાં ભણશેસમાજના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેડૂત કે મધ્યમ વર્ગના પરિવારના દીકરાઓ માત્ર નાણાંના અભાવે ભણતરથી વંચિત ન રહી જાય તે માટે આ મંચ પરથી મોટું આહવાન કરવામાં આવશે. જે અંતર્ગત ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓને શહેરમાં લાવી, તેમના ઉચ્ચ અભ્યાસની સાથે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો રોડમેપ તૈયાર કરાયો છે. નેતા-અગ્રણીઓની હાજરીમાં સંકલ્પ લેવાશેઆ મહાસંમેલનમાં માત્ર સન્માન સમારોહ જ નહીં, પરંતુ સમાજના વિકાસ માટેના મજબૂત સંકલ્પો લેવામાં આવશે. શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી શકે તે રીતે તૈયાર કરવા માટે આર્થિક મદદ આપવાની જાહેરાત આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
કળસાર પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી મહુવા શિક્ષણ પરિવાર, સમગ્ર શિક્ષા અભિયાન અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તથા ગ્રામ નિર્માણ સમાજના સંયુકત ઉપક્રમે આર્ટ એન્ડ ક્રાફટ અંતર્ગત “Health is Wealth” વિષય પર તાલુકા કક્ષાની સ્પર્ધા ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કળસાર ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં શાળા સ્તરે 1200 ઉપરાંત અને કલસ્ટર સ્તરે 500 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનમાંથી શ્રેષ્ઠ 65 કૃતિઓ તાલુકા કક્ષાએ પસંદગી પામી હતી, જેમને તાલુકા કક્ષાના પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાંથી 4 વિદ્યાર્થીઓ તાલુકા સ્તરે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનો હસ્તે મોમેન્ટો અને સર્ટિફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સાથે કલસ્ટર સ્તરે 500 ઉપરાંત વિદ્યાર્થીને પણ પિડિલાઈટ દ્વારા કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
રોડ બન્યો અતિબિસ્માર:સિહોર ધ્રુપકા રોડની અત્યંત બિસ્માર હાલતથી ગ્રામજનો તોબા પોકારી ગયા
સિહોર તાલુકાના સાગવાડીથી જૂના જાળિયા વાયા ધ્રુપકા રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. આ રોડ પર હવે કપચી સિવાય કાંઇ જ બચ્યું નથી.આ કપચીમાં નાના વાહનો સ્લીપ થઇ જાય છે. નાનાં-મોટાં અકસ્માતો થાય છે પરંતુ નિભંર તંત્ર છે કે માનતું જ નથી. આ રોડને રિ-કાર્પેટ કરવા માટેની કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા આ વિસ્તારના રહીશોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે ધ્રુપકાના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઇ છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે તથા ગ્રામ્યજનોની અવાર નવાર લેખિત, મૌખિક રજૂઆતો છતાં પણ નિંભર તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. સિહોર તાલુકાના ધ્રુપકા ગામનો સિહોરને જોડતા રોડ રસ્તાની ઘણા લાંબા સમયથી ખૂબ જ ખરાબ હાલત હોય તાલુકા મથક સાથે જોડતા રસ્તા પર રાત દિવસ ખૂબ જ અવર જ્વર રહે છે. રોડના રીપેરીંગની નહીં નવીનીકરણની જરૂરસિહોરની નજીકનું ગામ હોય દિવસ દરમિયાન શાળાએ જતા વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ રોજબરોજના કામે જતાં અપડાઉન કરતા ગ્રામ્યજનોની હાલત દયનીય બની ગઈ છે.ઊંટસવારી કરાવતા આ રોડ બાબતે અગાઉ પણ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાં છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આ રોડના નવીનીકરણની માંગ સાથે ગ્રામ્યજનો દ્વારા સિહોર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
શિક્ષકોનું કરાયું સન્માન:સૉક્રેટિસ અને અગસ્ત્ય ઍવૉર્ડથી જિલ્લાના બે શિક્ષકો સન્માનિત
સુરતમાં રાજ્યના શિક્ષકોનો અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં બાબુભાઈ જીરાવાળા, ડૉ.અલ્પેશકુમાર પીપળિયાને વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યા હતાં. ઉપરાંત મનુભાઇ પંચોળી સૉક્રેટિસ ઍવૉર્ડથી ભીંગરાજિયા ભાવિશાબેન જીવરાજભાઇ, ગોધવિયા ગૌતમભાઇ રામજીભાઇ, ગોંડલિયા પુરણદાસ અમરદાસ, અનસુયાબેન જશવંતસિંહ પરમાર,પાનસુરિયા કાજલબેન ભીમજીભાઇ, જોગરાણા પૂજાબેન ભાણજીભાઇ(મદદનીશ શિક્ષક, આંકોલાળી પ્રા.શાળા, તા.પાલિતાણા), ભીમજીભાઇ એભલભાઇ વાળા(આચાર્ય શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા, તા.પાલિતાણા), પટેલ વિજયભાઇ કનુભાઇ, પરમાર રવીન્દ્રભાઇ છગનભાઇ તેમજ નાનાભાઇ ભટ્ટ અગસ્ત્ય ઍવૉર્ડથી મિતેશકુમાર ઠાકોરભાઇ પ્રજાપતિ, રાજેશકુમાર બાબુભાઇ માંગુકિયા, હેમાક્ષીબેન અતુલભાઇ પટેલને સન્માનિત કરાયેલ.
24 કલાકમાં બે કરૂણાંતિકા સર્જાઈ:ચમારડીના બે વૃદ્ધો વાડીએથી ઘરે જતા અકસ્માતમાં મોત
ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર થંભતી જ નથી. અકસ્માતોના બનાવોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. વલભીપુર તાલુકાના મહેન્દ્રપુરમ નજીક બે વૃદ્ધ પોતાનું ટીવીએસ મોપેડ સ્કુટર લઇ વાડીએથી ચમારડી ગામ તરફ પરત ફરતા હતા તે સમયે રોડ ક્રોસ દરમિયાન પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે બંન્ને વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં બંન્ને વૃદ્ધોના કરૂણ મોત નિપજવા પામ્યા હતા. નાના એવા ગામમાં બંન્ને વૃદ્ધોની સાથે અંતિમ યાત્રા નિકળતા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પુરપાટ ઝડપે કાર તેમજ બાઇક ચલાવવાના નબીરાઓના શોખ નિર્દોષ લોકોને મોંઘા પડી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ચારથી પાંચ જેટલા ગંભીર અકસ્માતોમાં પાંચથી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વલભીપુર તાલુકાના ચમારડી ગામના બે વૃદ્ધોની મોટર સાયકલ સાથે પુરપાટ ઝડપે કાર ચલાવી આવેલા કાર ચાલકે વૃદ્ધો સાથે ગમખ્વાર અકસ્માત કરતા બંન્ને વૃદ્ધોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ચમારડી ગામે રહેતા કાંતિભાઇ કુંવરજીભાઇ જસાણી (ઉ.વ.72) અને પ્રેમજીભાઇ ઉર્ફે પરમાભાઇ જેરામભાઇ મુંજાણી (ઉ.વ.80) બંન્ને પ્રેમજીભાઇ મુંજાણીની ટી.વી.એસ.મોપેડ સ્કુટર લઇને ચમારડી ગામેથી વાડીએ ગયા હતા. અને જે બાદ વાડીએથી ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન મહેન્દ્રપુરમના દરવાજા પાસેથી તેમના બાઇકમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા જે દરમિયાન કાર નં. GJ 04 CJ 6239 ના ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી બંન્ને વૃદ્ધોના મોટર સાયકલ સાથે ગમખ્વાર અકસ્માત કરતા રોડ ઉપર ફંગોળાયા હતા. જે અકસ્માતમાં કાંતિભાઇ કુંવરજીભાઇ જસાણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પ્રેમજીભાઇ ઉર્ફે પરમાભાઇ જેરામભાઇ મુંજાણીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ભારે શોક છવાયો હતો. આ મામલે વલભીપુર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. 1 વર્ષથી રોડની કામગીરીને લઇને વારંવાર અકસ્માતવલભીપુર થી ભાવનગર તરફના હાઇવે પર અકસ્માત થવાનું કારણ અંગે એક વિશ્લેષણ એવુ છે કે, હાલ આ હાઇવેને ડીવાઇડર સાથે ફોર લેન બનાવવાની કામગીરી છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમય થી ચાલી રહી છે. તેમાં થોડા અંતર સુધી સારો રસ્તો આવે પછી થોડા અંતર માટે કપચી માટી પાથરેલો રસ્તો આવે ત્યાં પાછુ અચાનક ડાયવર્ઝન આવે હાઇવે પર વારંવાર આવી રીતે રસ્તો બનતો હોય ચાલકો મનાસીક રીતે થાક અનુભવે છે તેમાં ડામર પાથરેલો હાઇવે શરૂ થાય ત્યારે માનસીક થાકેલા ડ્રાઇવરો બન્ને તરફનો ટ્રાફીક એકજ દિશામાં ફુલ સ્પીડમાં વાહન ચલાવાતા હોય છે અને તેના કારણે અકસ્મતો થયા કરે છે. 1 દિવસમાં બે અકસ્માત : 3ના મોત, બેને ઇજામહેન્દ્રપુરમના દરવાજા નજીક એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત થયા છે. બે દિવસ અગાઉ એક છકડામાં પાંચેક જેટલા શ્રમિકો છકડાની પાછળ મિલરને બાંધીને જતા હતા. જે દરમિયાન એસ.ટી.ના ચાલકે છકડા સાથે અકસ્માત કરતા એક શ્રમિક યુવકનું મોત થયું હતું અને બે શ્રમિકોને ઇજા થઇ હતી. જ્યારે આજે ફરી કાર ચાલકે અકસ્માત કરતા બે વૃદ્ધોના મોત થયા છે. આ બન્ને અકસ્માતોમાં એસ.ટી.ના ચાલક અને કારના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.
ભાસ્કર બ્રેકિંગ:રાજ્યના નવા DGP પદે ડૉ.કેએલએન રાવ નક્કી, 30-35 IPS ટ્રાન્સફર થશે
ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ને 6 મહિનાનું એક્ષટેન્શન આપવામાં આવ્યુ હતુ. જેનો સમય પણ તા.31 ડિસેમ્બર 2025 એ પૂરો થઈ રહ્યો છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવનું નામ લગભગ નક્કી જ છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ડીજીપીની રેસમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. જેથી ગુજરાત રાજ્યના 30 મા ડીજીપી તરીકે રાવની નિમણૂક થવાની શકયતા લગભગ પ્રબળ જ છે. આટલું જ નહીં હાલમાં 4 માંથી એક પણ પોલીસ કમિશનરની બદલી થાય તેવા કોઈ એંધાણ નથી. જેથી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિક, સૂરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંગ ગેહલોત, વડોદરા પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમર જ્યારે રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા યથાવત જ રહેશે. જ્યારે એસપીમાંથી પ્રમોશન મેળવનારા 10 ડીઆઈજીને હજુ સુધી પોસ્ટીંગ આપવામાં આવ્યા નથી. જેથી તેમને પણ 31 મી ડિસેમ્બરે જ પોસ્ટીંગ આપી દેવાય તેવી શકયતા છે. જેથી 31 મી ડિસેમ્બરે આઈપીએસ અધિકારીઓની બદલીનું વધુ એક મોટુ લીસ્ટ આવે તેવી શકયતા હોવાનું આઈપીએસ અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. નવા ડીજીપીની પસંદગી આ રીતે કરાશેનવા ડીજીપીની પસંદગી માટે ગુજરાત સરકાર ડીજીપી કક્ષાના અધિકારીઓના નામ યુપીએસસીની પેનલને મોકલશે. જેમાં ડો.કે.એલ.એન.રાવ, જી.એસ.મલિક, ડો.નિરજા ગોટરુ, મનોજ શશીધર અને રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે. જો કે વિકાસ સહાય પછી સૌથી સિનિયર આઈપીએસ અધિકારી શમશેરસિંઘ છે. પરંતુ તેઓ હાલમાં ડેપ્યુટેશન ઉપર છે અને તેમને નિવૃત્તિને પણ 3 જ મહિના બાકી છે. જ્યારે રેગ્યુલર ડીજીપીના પોસ્ટીંગ માટે 6 મહિનાની નોકરી બાકી હોવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની ક્રાઈમની પેટર્નના જાણકાર અધિકારી ડૉ.રાવસમગ્ર ગુજરાતમાં કયા પ્રકારના ગુનાઓ બની રહ્યા છે, તેની પેટર્ન જાણવા માટે સીઆઈડી ક્રાઈમ એ સૌથી મહત્ત્વનું એકમ ગણાય છે. હાલમાં સરકાર કયા પ્રોજેકટ ઉપર કામ કરી રહી છે તે તમામ માહિતીથી સીઆઈડી ક્રાઈમના વડા માહિતગાર હોય છે. તેમજ સીઆઈડી ક્રાઈમની ઓફિસ ડીજીપી ઓફિસમાં જ આવેલી છે અને ગૃહ વિભાગની બેઠકોમાં પણ સીઆઈડીના વડા હાજર રહે છે. આ તમામ કામ હાલમાં ડો.કે.એલ.એન.રાવ કરી રહ્યા છે. 1992ની બેચના ડૉ. રાવ હાલ CID ક્રાઇમના વડાડો.રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમણે એસપી તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર રહી ચૂકયા છે. જ્યારે તેઓ ઘણા વર્ષ સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહ્યા હતા અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ઓકટોબર 2027 માં નિવૃત્ત થશે.
ખાડા રાજ:શહેરના પાનવાડી ચોકમાં વિકાસમાં અવરોધક મસમોટો ખાડો
હાલ ભાવનગરમા જોરશોરમા રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાનવાડી ચોક પાસેથી તમે પસાર થાવ તો જરા સંભાળજો કારણકે રસ્તો તો ટનાટન બની ગયો છે. વચ્ચે ગટરના ઢાંકણા રોડના લેવલમા કરવાના બાકી છે ત્યારે અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહનો માટે આ ખાડા જોખમરૂપ અને અકસ્માત સર્જે તેમ છે તો હાલ આવા ખાડાનુ કામ બાકી અથવા પછી કરવાનું હોય તો હાલ પુરતા સેફટી બેરીકેડ અને સાઈનબોર્ડ મુકવા જરૂરી બન્યા છે. આવા ખાડા હાલ જ્યાં જ્યાં નવા રસ્તા બની રહ્યા છે ત્યાં દરેક જગ્યાએ છે તો ત્વરિત કામગીરી હાથ ધરી કામ પુર્ણ કરવા જોઈએ.
ભાવનગરમાં નાગરિક સંરક્ષણ દળના 360 કરતા વધુ સ્વયંસેવકો/કર્મચારીઓ માટે ઓડિટોરિયમ હોલ,સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે બે દિવસની એક ટ્રેનિંગ સેશન(તાલીમ વર્ગ)નું આયોજન કરવામાં આવેલ હતું. નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો ભવિષ્યમાં સંભવિત કોઈ આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રાથમિક સારવાર અને ફાયર સેફટી અંગેના પ્રોટોકોલ વિશે માહિતી મેળવી શકે અને ઓપરેશન સિંદુર દરમ્યાન સર્જાયેલી પરિસ્થિતિ સમયે કેવી રીતે લડત આપી અને નાગરિકોને પ્રાથમિક સુરક્ષા સારવાર અને સંરક્ષણ પૂરી પાડી શકાય અને યુદ્ધ કે આક્રમણ જેવી કોઈ ઈમરજન્સી પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સંસાધનો અને માનવબળ સાથે સમગ્ર દુર્ઘટનાની પરિસ્થિતિ ખૂબ જ ઓછા નુકસાન સાથે નિવારી શકાય તે માટેના તમામ પ્રોટોકોલો અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં ડીન ડો. ચિન્મય શાહ, સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી જનરલ હોસ્પિટલ ભાવનગરના એનેસ્થેસિયોલોજી (ઈમરજન્સી સારવાર) વિભાગના તબીબી નિષ્ણાતોએ COLS કમ્પ્રેશન ઓન્લી લાઇફ સપોર્ટ અને પ્રાથમિક સારવાર અને CPR(કાર્ડિયો પલ્મોનરી રીસક્સીટેશન) અંગે ખૂબ જ ઊંડાણથી માહિતી આપીને હેન્ડસ ઓન પ્રેક્ટિકલ સેશન સાથે ટ્રેનિંગ અપાઇ હતી. ચીફ ફાયર ઓફિસર કરણભાઈ ગઢવી અને તેઓના સાથી કર્મચારીઓની મદદથી યુદ્ધ અને હુમલા જેવી સ્થિતિમાં ફાયર કંટ્રોલ તકનીકો અને રેસ્ક્યુ એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ કામગીરી અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જ્યારે સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ દળ)ની 12 સેવાઓ અને દળની શરૂઆત કરવામાં આવી ત્યારથી આજદિન સુધી કામગીરી અને દળના સંયમ સેવકોની ભૂમિકા અંગેની પ્રાથમિક તાલીમ ચીફ વોર્ડન નાગરિક સંરક્ષક દળ સી.કે.પટેલ દ્વારા આપવામાં આવી હતી.
સાંસદ ખેલ મહોત્વનું સમાપન:ખેલ મહોત્સવમાં બહેરા મુંગા શાળાને 24 મેડલ
સાંસદ નિમુબેન બાંભણીયા અને રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયા, કલેકટર , કમિશનર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્વ 2025નો સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમ સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો. જેમાં 8 ગોલ્ડ, 8 સિલ્વર, 8 બ્રોન્ઝ મળીને કુલ 24 મેડલોથી શાહ ખી.લ.બહેરા મૂંગા શાળાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.
ઈસ્કોનથી સાણંદ એલિવેટેડ કોરિડોર બનાવવા વાયએમસીએ જંક્શનથી કર્ણાવતી જંક્શન સુધીનો રોડ 3 મહિનાથી વાહનો માટે બંધ કરાયો છે. જેથી સાણંદ તરફથી આવનારા વાહનોએ વાયએમસીથી કર્ણાવતી જવા 4 કિલોમીટર વધુ ફરવું પડે છે. જેના કારણે પિકઅવર્સમાં ભારે ટ્રાફિકજામ થાય છે. કર્ણાવતી જંક્શનથી વાયએમસીએ જંક્શન તરફના રોડ પર રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાશે ત્યારે આ રોડ બંધ નહીં કરાય. વાહનોને સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાશે. પહેલાં એવું પ્લાનિંગ કરાયું હતું કે, રોડને બંધ કરીને રેમ્પની કામગીરી કરવામાં આવે. જોકે હવે સર્વિસ રોડનું સમારકામ કરીને મુખ્ય રસ્તાના અમુક ભાગ અને સર્વિસ રોડ પરથી વાહનો અવર-જવર કરી શકશે. એસજી હાઈવે પર કેટલાક સમયથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાવાના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી અને એજન્સી સાથેની બેઠકમાં સર્વિસ રોડ પર ડાઈવર્ઝન આપવાનો નિર્ણય લેવાયો છે. પહેલાં પ્રહલાદનગરથી અંદર થઈ YMCA ડાઈવર્ઝન આપવાનું હતુંરિંગ રોડને જોડતા અને નેશનલ હાઈવે પરથી આવતા 2 લાખ વાહનોએ ચાર કિમી વધુ ફરવાના કારણે અંદરના રસ્તા પર ટ્રાફિકજામ થાય છે. અગાઉ એવું પ્લાનિંગ હતું કે, કર્ણાવતી જંકશનથી વાયએમસીએ જંકશન તરફ રેમ્પની કામગીરી વખતે વાહનચાલકોને પ્રહલાદનગર થઈ વાયએમસીએ ડાઈવર્ઝન આપવાનું હતું. હવે રોડ પર પતરા લગાવીને વાહનોને અવર-જવર ચાલુ રખાશે.
શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ:પ્રાથમિકમાં 54,607, માધ્યમિકના 42,859 વિદ્યાર્થી ક્વોલિફાઇ થયા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29 નવેમ્બરે લેવાયેલી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામ વેબસાઇટ www.sebexam.org પર વિગતવાર જોઇ શકાશે. આ પરીક્ષાના પરિણામમાં પ્રાથમિક કક્ષાએ કુલ 54,607 માત્ર 1 પરીક્ષાર્થીને 95 ટકા એટલે કે 114 માર્ક આવ્યા છે. જ્યાં માધ્યમિક કક્ષાએ 42,859 પરીક્ષાર્થી પૈકી એક પણ પરીક્ષાર્થીને 95 ટકા આવ્યા નથી. બંને પરીક્ષામાં મળીને કુલ 97,466 વિદ્યાર્થીએ લઘુતમ 35% (42 ગુણ)થી વધુ ગુણ મેળવીને ક્વોલિફાઈંગ માર્કસ પ્રાપ્ત કર્યા છે. PSE (પ્રાથમિક)માં 54,607 વિદ્યાર્થીએ 35% થી વધુ ગુણ મેળવ્યા છે. નોંધનીય છે કે, માત્ર 1 વિદ્યાર્થીએ 95% થી વધુ ગુણ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. SSE (માધ્યમિક)માં 42,859 વિદ્યાર્થી સફળ રહ્યા છે. જેમાં 89 વિદ્યાર્થીએ 85% થી વધુ ગુણ મેળવી પોતાની તેજસ્વિતા સાબિત કરી છે. આ પરીક્ષામાં ક્વોલીફાઇંગ ગુણ તરીકે 35 ટકા એટલે કે 42 ગુણ ગણવામાં આવે છે. વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલા માર્કના ગુણપત્રક વેબસાઇટ www.sebexam.org પર આપેલા રિઝલ્ટ ઓપશનમાં વિદ્યાર્થીઓને બેઠક નંબર અથવા યુડાયસ અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકાશે. રાજ્ય સરકારની PSE યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ. 750 મળશે જયારે SSE યોજનામાં વર્ષમાં એક વખત રૂ.1000ની સ્કોલરશિપનો લાભ મળવાનો હોવાનું જાણવા મળ્યું છે. કુલ 3900 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયોપ્રાથમિક કક્ષાએ શિષ્યવૃત્તિમાં મેરિટમાં સમાવિષ્ઠ તાલુકાવાર પ્રથમ 1000 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત થશે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિમાં તાલુકાવાર ક્વોટા પ્રમાણે ગ્રામ્ય કક્ષાએ 1500, શહેરી કક્ષાએ 1000 અને ટ્રાયબલમાં 400 મળીને કુલ 2900 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે. આ સાથે ઉત્તીર્ણ થનારા તમામને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, ભાવનગર દ્વારા સહજાનંદ રિસર્ચ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, સહજાનંદ ગુરુકુલ કેમ્પસ, ઘોઘા રોડ, ભાવનગર ખાતે ફિઝિયોથેરાપી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ દરમિયાન આશરે 100 જેટલા દર્દીઓને સંપૂર્ણપણે મફત નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પમાં કાર્ડિયોરેસ્પિરેટરી, ઓર્થોપેડિક અને ન્યુરોફિઝિયોથેરાપીના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા મફત વિશેષ સલાહ અને સારવાર આપવામાં આવી. આ કેમ્પ સામાજિક સેવાભાવના હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર ફિઝિયોથેરાપી સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો.
આયોજન:અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માત ઘટાડવા CCTV લગાવી કંટ્રોલરૂમ બનાવાશે
109 કિમી લાંબા અમદાવાદ-બગોદરા હાઈવે પર છેલ્લા છ મહિનામાં 21 લોકોના અકસ્માતમાં મોત થયા છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીએ મહત્ત્વના લીધા છે. 0થી 22, 23થી 48, 49થી 71 અને 72થી 109 કિમીના રસ્તા પર ચાર ભાગમાં કેમેરા, વેરિએબલ ડિસ્પ્લે સ્ક્રીન સહિતની સુવિધા ઉભી કરાશે. જો વાહનો ઓવર સ્પીડમાં હશે તો તરત જ મેમો મોકલાશે. ખોટી લેનમાં ડ્રાઈવિંગ કરતા હશે તો તરત જ એલર્ટ અપાશેશે. સમગ્ર રૂટ પર લગાવેલ કેમેરા દ્વારા વાહન ચાલકોનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને ખોટી રીતે વાહન ચલાવતા વાહનચાલકો વિરૂદ્ધ એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામા આવશે. ચાર ભાગમાં અલગ-અલગ કંટ્રોલ રૂમ બનાવાશે અને કંટ્રોલરૂમની જવાબદારી પોલીસ વિભાગને સોંપાશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 3 ભાગની કામગીરી પૂરી કરી દેવાઈ છે. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ગ્રામ્યમાં થતાં 80 ટકા અકસ્માત આ હાઈવે પર થાય છે તેને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ઓવરસ્પીડમાં હશે તો મેમો આવશે - ચાર ભાગમાં કેમેરા, વિએબલ ડિસ્પ્લે સ્ક્રીન સહિતની સુવિધા ઊભી કરાશે. - વાહન ઓવર સ્પીડમાં હશે તો મેમો, ખોટી લેનમાં હશે તો એલર્ટનો મેસેજ મોકલાશે. - સમગ્ર રૂટ પર કેમેરાથી વાહનચાલકનું મોનિટરિંગ. - અકસ્માતની સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડાશે. - હાલ છેલ્લા તબક્કાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ ફાયર વિભાગમાં પહેલીવાર ત્રણ લેયરના 210 નંબર ફાયર શૂટ વસાવાશે. વિકરાળ આગ જેવી ઘટનામાં ફાયર જવાનો સામાન્ય કપડા પર માત્ર 2 મિનિટમાં પહેરીને તૈયાર થઇ શકશે. જ્યારે આ ૩ લેયરનું મિશ્રણ જવાનને 8 સેકન્ડથી વધુ સમય સુધી સીધી પ્રચંડ આગ વચ્ચે સુરક્ષિત રાખશે. આ સમય ગંભીર સ્થિતિમાં કોઈનો જીવ બચાવવા માટે મહત્વનો હોય છે. આ પ્રકારના સુટમાં માત્ર કાપડ જ નહીં, પણ રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ હોય છે જે ચમકશે. ત્રણ લેયરમાં આ મટિરીયલનો ઉપયોગ કરાશે 1. બહારનું પડ : આ પડ Nomex IIIA (92% નોમેક્સ, 5% કેવલર, 5% પી-140 એન્ટિસ્ટેટિક ફાઈબર) માંથી બનેલું છે. ખાસિયત : તે 195થી 205 ગ્રામ પ્રતિ સ્ક્વેર મીટર (GSM) વજન ધરાવે છે. આ પડ ‘રિપ-સ્ટોપ’ વણાટ ધરાવે છે, તે પાણી-તેલને દૂર રાખવા ફ્લોરોકાર્બન ફિનિશ ધરાવે છે. 2. વચલું પડ : આ પડ નોમેક્સ અને કેવલરના કાપડ પર ePTFE મેમ્બ્રેન (એક ખાસ પ્રકારનું પડ) લગાવીને બનાવાય છે. ખાસિયત : તેનું વજન અંદાજે 130 GSM હોય છે. તેનું મુખ્ય કામ બહારના પ્રવાહીને અંદર આવતા રોકવાનું છે. 3. અંદરનું પડ : આ પડમાં નોમેક્સ અથવા કેવલપના સ્પનલેસ કાપડ સાથે નોમેક્સ અને વિસ્કોસનું મિશ્રણ હોય છે. ખાસિયત: આ સૌથી જાડું પડ છે, તે ગરમીને શરીર સુધી પહોંચતી રોકે છે. દરેક ફાયર સ્ટેશનમાં 5થી વધુ શૂટ અપાશેઘણીવાર આગની મોટી ઘટનામાં ફાયરના જવાનો દાઝી જાય છે. સાથે આગ દરમિયાન જવાનો પર પાણીનો મારો ચલાવવો પડે છે. હવે આ થ્રી લેયરના શૂટની સાથે શરીર ઢંકાઇ રહે તે માટેનો સેટ લેવાશે. આ થ્રી લેટર શૂટ દરેક ફાયર સ્ટેશનમાં અપાશે. - એસ. બી જાડેજા, ડીએફઓ આ માટે આ સૂટ જરૂરી છે ઝડપી રિસ્પોન્સ : ગંભીર સ્થિતિમાં માત્ર 120 સેકન્ડમાં પહેરી શકાય તેવી ડિઝાઇન. રિફ્લેક્ટિવિટી : ૩M સ્કોચલાઇટ ટેપ અંધારામાં જવાનનું લોકેશન ટ્રેક કરાશે. હીટ પ્રોટેક્શન : 4 સેકન્ડની ફ્લેમ ટેસ્ટમાં દાઝવાની શક્યતા 15% થી ઓછી રાખે છે. સંપૂર્ણ સેટ : સૂટની સાથે એન્ટી-ફ્લેશ હૂડ, હેલ્મેટ અને ગમબૂટ જવાનને માથાથી પગ સુધી સુરક્ષિત રાખે છે.
ભાવનગર : ઘોઘા રત્નદીપ તીર્થ ખાતે આયોજિત સર્વ ધર્મ સંમેલનનુ આયોજન આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સર્વો ધર્મોના અનુયાયીઓની હાજરીમાં આચાર્ય દ્વારા જીવન, મરણ, વૈરાગ્ય અને સમ્યક જ્ઞાન વિષયે ગહન પ્રવચન આપવામાં આવ્યું. પૂજયશ્રીએ જણાવ્યું કે જે પ્રાર્થના ગુરુ અથવા ભગવાન સુધી ન પહોંચે તેનું કોઈ મહત્ત્વ નથી, અને તેવી આંખો પણ વ્યર્થ છે જેમાંથી ગુરુ-ભગવાનના દર્શન ન થાય. શિષ્ય સંસારનો ત્યાગ ગુરુના આશ્રયે કરે છે, તેથી ગુરુનો વિયોગ અત્યંત પીડાદાયક હોય છે. પરંતુ આ સંસારનો અડગ નિયમ છે કે જે આવ્યું છે તે જવાનું જ છે. પ્રવચનમાં સમાધિ મરણની મહત્તા સમજાવતા તેમણે જણાવ્યું કે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ આ ચાર આરાધનાઓની સાધનાથી અલ્પ ભાવોમાં પણ અનેક ભવોનો ક્ષય થાય છે. ભગવતી આરાધના જેવા શાસ્ત્રો આ તથ્યની પુષ્ટિ કરે છે. સાથે સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે રાગથી ક્લેશ ઉત્પન્ન થાય છે, પરંતુ અનેક વખત અનુરાગ પણ ક્લેશનું કારણ બની જાય છે. આચાર્ય શ્રીએ ભેદ-વિજ્ઞાન સમજાવતા કહ્યું કે શરીર નશ્વર છે જ્યારે ચેતન શાશ્વત છે. આત્માનું પરિણામન આત્મારૂપે જ થાય છે શુદ્ધ દશામાં શુદ્ધ અને અશુદ્ધ દશામાં રાગાદિ ભાવોના કારણે જીવન-મરણ સ્વરૂપે. આત્મતત્ત્વને જાણનારા જ્ઞાની ન તો જન્મથી ડરે છે ન તો મૃત્યુથી, કારણ કે તેમની દૃષ્ટિએ આ માત્ર પરિવર્તન છે. પ્રવચન દરમિયાન પ્રકૃતિમાંથી ઉદાહરણ આપતાં સાગર અને સૂર્યની ગતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેમ સાગરનું ચઢાવ-ઉતરાવ અને સૂર્યનું ઉગવું-ડૂબવું સ્વાભાવિક નિયમ છે, તેમ જીવનમાં પરિસ્થિતિઓનો ઉતાર-ચઢાવ પણ સ્વાભાવિક છે. તેને રોકવું આપણા હાથમાં નથી, તેથી સમજૂતી અને સમભાવ સાથે જીવન જીવવું જ વિવેકપૂર્ણ માર્ગ છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેલ.
સાબરમતી રેલવે સ્ટેશને રિડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે નવનિર્મિત સ્ટેશનના પ્રથમ માળે નવું રિઝર્વેશન કેન્દ્ર શરૂ કરાયું છે. હજાર વ્યક્તિની ક્ષમતા ધરાવતા એસી હોલમાં રિઝર્વેશન કેન્દ્ર શરૂ થવાથી ભીડ નહીં થાય. જૂની જગ્યા સાંકડી હોવાથી ખૂબ જ ભીડ થતી હતી. પેસેન્જરો માટે લિફ્ટ અને સીડીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જેથી વૃદ્ધ, દિવ્યાંગ તેમજ લગેજ સાથે મુસાફરી કરતા પેસેન્જરો સરળતાથી રિઝર્વેશન કેન્દ્ર સુધી પહોંચી શકે. હાલ એક દિવ્યાંગ ફ્રેન્ડલી વિન્ડો સહિત કુલ ચાર ટિકિટ બારી શરૂ કરાઈ છે. પેસેન્જરોને માર્ગદર્શન આપવા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ લગાવાશે. થોડા સમય પહેલા સ્ટેશન બહાર આવેલી આરપીએફ પોલીસ મથક પણ નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરાયું છે. 4 ટિકિટ બારી બનાવાઈ છે - સંપૂર્ણ એસી હોલ અને બેઠકોની વ્યવસ્થા. - લિફ્ટ અને સીડી દ્વારા સરળ અવરજવર. - એક દિવ્યાંગ સહિત ચાર આધુનિક ટિકિટ વિન્ડો. - પેસેન્જરોને માર્ગદર્શન માટે ડિસ્પ્લે બોર્ડ લગાવાશે. - જૂની ઓફિસની જગ્યાએ ગાર્ડન-પાર્કિંગ સુવિધા.
GST વસુલાત:મોબાઇલ ચેકિંગ સ્ક્વોડની તીવ્રતા વધારી અસરકારક રીતે વિસ્તૃત કરવા નિર્ણય લેવાયો
ટેક્સ આવક અને મહેસૂલ વસૂલાતને વધારવાના હેતુથી, સરકારે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) વિભાગને તેના મોબાઇલ ચેકિંગ સ્ક્વોડની તિવ્રતા વધારવા અને વિસ્તૃત કરવાનો નિર્દેશ આપ્યો છે. કરચોરી, માલની બિન હિસાબી હિલચાલ અને કેન્દ્ર અને રાજ્યો બંનેને અસર કરતી મહેસૂલ લિકેજ અંગેની ચિંતાઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોબાઇલ ચેકિંગ સ્ક્વોડ સરકારી આવકમાં સુધારો કરવા માટે એક મુખ્ય પોર્ટફોલિયો છે, કારણ કે તે માલના પરિવહન દરમિયાન કરચોરી અટકાવવા માટે સીધા જમીન સ્તરે કાર્ય કરે છે. ડેસ્ક-આધારિત મૂલ્યાંકનથી વિપરીત, મોબાઇલ સ્ક્વોડ હાઇ-વે, ઔદ્યોગિક કોરિડોર, બજારો અને પરિવહન કેન્દ્રો પર વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરે છે. વાહનોને અટકાવીને અને સ્થળ પર કર દસ્તાવેજોની ચકાસણી કરીને, આ સ્ક્વોડ માન્ય GST ઇન્વોઇસ અથવા ઇ-વે બિલ વિના માલની હિલચાલ સામે મજબૂત અવરોધક તરીકે કાર્ય કરે છે. આ તાત્કાલિક અમલીકરણ પદ્ધતિ પરિવહન દરમિયાન થતી આવક લિકેજને રોકવામાં મદદ કરે છે અને ખાતરી કરે છે કે સરકારને ચૂકવવામાં આવતા કર સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે છે. મોબાઇલ ચેકિંગ સ્ક્વોડનું પ્રાથમિક કાર્ય માલની હિલચાલ પર નજર રાખવાનું અને GST કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવાનું છે. સ્ક્વોડના સભ્યોને વાહનો રોકવા, ઈ-વે બિલ, ટેક્સ ઇન્વોઇસ અને અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસવા અને માલ પરિવહન કરવામાં આવી રહ્યો છે તે જાહેર કરેલી વિગતો સાથે મેળ ખાય છે કે નહીં તે તપાસવા માટે અધિકૃત છે. વિસંગતતાઓ, ઓછું મૂલ્યાંકન અથવા કરચોરીના કિસ્સાઓમાં, સ્ક્વોડ દંડ લાદી શકે છે, માલ જપ્ત કરી શકે છે અથવા GST જોગવાઈઓ અનુસાર વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે. મોબાઇલ સ્ક્વોડ ક્ષેત્ર-સ્તરીય ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં, ઉચ્ચ-જોખમવાળા માર્ગો અને ક્ષેત્રોને ઓળખવામાં અને વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પાલન આવશ્યકતાઓ વિશે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડિજિટલ ટૂલ્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને, મજબૂત સ્ક્વોડ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનવાની અપેક્ષા છે. સરકારી અધિકારીઓ માને છે કે મોબાઇલ ચેકિંગ સ્ક્વોડને વધારવાથી પ્રામાણિક કરદાતાઓ માટે યોગ્ય ક્ષેત્ર સુનિશ્ચિત કરીને વાજબી વેપાર પ્રથાઓને પણ પ્રોત્સાહન મળશે. જોખમ વિશ્લેષણ વધુ સઘન બનશેમોબાઇલ ચેકિંગ સ્ક્વોડને ટેક્નોલોજી, રિયલ-ટાઇમ ડેટા ઍક્સેસ અને સ્ટાફ ટ્રેનિંગથી વધુ મજબૂત બનાવવાની યોજના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જોખમ વિશ્લેષણ અને ઇ-વે બિલ ઈન્ટિગ્રેશનથી હાઇ-વે તથા બજારોમાં કરચોરી ઝડપથી પકડાશે, આવક લિકેજ ઘટશે અને સરકારી આવકમાં ટકાઉ વધારો થશે તેવું સરકારનું માનવું છે.
અમદાવાદ-ગાંધીનગરમાં કોન્સર્ટ, કોમેડી શો, મેચ સહિત અન્ય બિઝનેસ ઇવેન્ટોના આયોજનથી એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટ સહિત વિવિધ રૂટ પરની ફલાઇટોમાં પેસેન્જર ટ્રાફિક પ્રતિદીન 35 હજારથી વધી 37 હજારને પાર કરી ગયો છે. ચાલુ વર્ષે 1 એપ્રિલથી 25 ડિસેમ્બર 2025 સુધી એટલે કે નવ મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ પેસેન્જરો 10 મિલિયનને (એક કરોડ) પાર કરી ગયા છે, જે ગત નાણાકીય વર્ષ (1 એપ્રિલ-24થી 31 માર્ચ-25) માં 1,36 કરોડ રેકોર્ડ બ્રેક પેસેન્જરો નોંધાયા હતા. ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલમાં બે નવી એરલાઇન સાથે 11 નવા રૂટની ફલાઇટો શરૂ થતા એરપોર્ટ પર પ્રતિદીન ફલાઇટોની મુવમેન્ટ 250થી વધી 270 થઇ ગઇ છે. આગામી માર્ચ સુધીમાં શ્રીલંકન એર અમદાવાદ-કોલંબો વચ્ચે નવી ફલાઇટ શરૂ કરશે. 2 નવી એરલાઇન, 11 નવા રુટની ફ્લાઇટ્સના કારણે ટ્રાફિકમાં વધારો થયો આ એરલાઇન્સે કામગીરી શરૂ કરી એરઇન્ડિયા એક્સપ્રેસ, થાઇ વિયતજેટ આગામી ટૂંક સમયમાં શ્રીલંકન, શંખ એર આવશે આ રૂટ પર નવી ફલાઇટો નવી મુંબઇ, ગાઝીયાબાદ, દીવ, કેશોદ, પુરનિયા, બેંગલુરુ, ઇન્દોર, જયપુર, ગોવા અને બેંગકોક નવા કયા એરપોર્ટ શરૂ થયા નવી મુંબઇ, હિંડન, બિહારનું પુરનિયા ગુજરાતનું કેશોદ, આગામી સમયમાં જેવર એરપોર્ટ શરૂ થશે, પેસેન્જરોને નવી કંઇ સુવિધાઓ મળી નવા ચેકઇન કાઉન્ટર, લાઉન્જ, સેલ્ફ બેગેજ ડ્રોપ, ફ્રી વાઇફાઇ, ઇ-બૉર્ડિંગ ગેટ, યાત્રી કાફે 9 મહિનામાં 5 કોન્સર્ટ, 5 મેચો, 2 કોમેડી શો એપી ઢીલ્લન, રેખા ભારદ્રાજ, બીસમીલ મહેફીલ, લકી અલી, સોનુ નિગમ, જસપ્રીત સિંઘ, વિપુલ ગોયલ કોમેડી શો, ભારત-આફ્રિકા ટી-20 સહિત પાંચ મેચો રમાઇ
વેધર રિપોર્ટ:શહેરમાં બપોરે તાપમાનમાં 1.4 ડિગ્રીનો થયેલો ઘટાડો
ભાવનગર શહેરમાં નાતાલનું પર્વ આવ્યું અને ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ શરૂ થઇ ગયું હોવા છતાં હજી કડકડતી ઠંડી શરુ થઇ નથી. જો કે આજે બપોરે શહેરમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 29 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. 5 દિવસ દરમિયાન પણ પારો 13થી 14 ડિગ્રી સુધી રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં ઠંડીની તીવ્રતા વધે તેવી સંભાવના હવામાન શાસ્ત્રીઓ લગાવી રહ્યા છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 29 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે અને સાંજના સમયે પવનની ઝડપ 6 કિલોમીટર નોંધાઇ હતી. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા હતુ તે આજે સાંજના સમયે 41 ટકા થઇ ગયુ હતુ. શહેરમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધે તેવી શક્યતા છે.
વીજકાપ:શહેરમાં અકવાડા સહિતના વિસ્તારોમાં કાલે શનિવારે સાત કલાકનો વીજકાપ
ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા શહેરમાં આગામી તા.27મી ડિસેમ્બર-2025ને શનિવારે અકવાડા સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સિટી-2 ડિવિઝન દ્વારા વીજ લાઈનની અગત્યની કામગીરી અન્વયે તા.27મીને શનિવારે 11 કે.વી.અકવાડા અર્બન ફીડરમાં સવારે 8 થી બપોરના 3 સુધી સાત કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 11 કે.વી. અકવાડા અર્બન ફીડર નીચેના વિસ્તારમાં આવતા અકવાડા ગામ, અકવાડા વિસ્તાર, પેટ્રોલ પમ્પ વિસ્તાર (શીતળા માતાજી મંદીર નજીક), અકવાડા મદ્રેસા સ્કુલ, બળવંત સોસાયટી, અખંડ આનંદ સોસાયટી, ચંદ્રોદય સોસાયટી, અકવાડા ગુરુકુળ, ગીતાનગર વિસ્તારમાં વીજકાપ રહેશે.
તિરૂપતિ આંધ્રપ્રદેશમાં ચાલી રહેલી રામકથા દરમિયાન, કથાકાર મોરારિબાપુએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મોરારિબાપુએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ ખરાબ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે હિન્દુઓના દુઃખને હવે અવગણી શકાય નહીં. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પણ આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. મોરારિબાપુએ પ્રશ્ન કર્યો કે હિન્દુ હોવું એ ગુનો કેમ માનવામાં આવે છે? તેમણે કહ્યું કે તેમને સમજાતું નથી કે હિન્દુઓમાં શું ખોટું છે.તેમણે હિન્દુની ઓળખ નમ્રતા અને વિશાળતા સાથે જોડી. મોરારીબાપુએ સમજાવ્યું કે હિન્દુ એક 'બિંદુ' છે, એટલે કે અહંકાર વિનાનું એક નાનું બિંદુ. પરંતુ તે જ સમયે, તે 'સિંધુ' પણ છે, જે સમુદ્ર જેવો વિશાળ અને અનંત છે.
ભાસ્કર એનાલિસિસ:વાહનોના PUCના ભાવમાં રૂ.10થી 50 સુધીનો વધારો
ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગ તરફથી પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ અંગે તાજેતરમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં PUC અંગેના નોટિફિકેશનનો ભાવનગર જિલ્લાની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી સહિત 13 પ્રાદેશિક પરિવહન અધિકારીની કચેરીઓમાં તથા 23 સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારી કચેરીઓમાં અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે RTO માન્ય PUC સેન્ટરોમાં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ વાહનોની PUCના ભાવમાં રૂ.10થી 50 સુધીનો વધારો થયો છે. વાહનોના પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટમાં કરાયેલ ભાવ વધારાનો ભાવનગર RTO માન્ય પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ આપતા 57 સેન્ટરોમાં નવો ભાવ અમલી બનાવાયો છે. જેથી નવા વાહન ખરીદનાર તથા પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) રિન્યૂ કરાવનાર વાહન ચાલકોને નિયત કરાયેલ નવા ભાવ મુજબ ફિ ચુકવવાની રહેશે ત્યારે PUC સેન્ટર ધારકો નિયત ફ્રી સિવાય વધારાનો એક પણ રૂપિયા વસૂલી શકશે નહીં. વાહનવ્યવહાર વિભાગ દ્વારા અંદાજે 8 વર્ષ પહેલા PUCના દરમાં વધારો કર્યો હતો ત્યારે હાલ વર્ષ-2025માં 50 ટકાથી લઈ 97 ટકા સુધીનો વધારો કરાયો છે. RTO માન્ય ભાવનગર જિલ્લાના પોલ્યુશન અન્ડર કંટ્રોલ કુલ 57 સેન્ટરોમાં નવા ભાવનો અમલ શરૂ કરાયો ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ વાહનની કેટેગરી પ્રમાણે ભાવ ભાવનગર RTO કચેરી હેઠળ નોંધાયેલા વાહન જિલ્લાના 6 લાખથી વધુ વાહનોને ભાવ વધારો લાગુ પડશેગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગ તરફથી પોલ્યુશન અન્ડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ બાબતે જારી કરાયેલ નોટિફિકેશન મુજબ હવે PUCનો નવો ભાવ અમલી અમલી બનશે. ભાવનગર RTO કચેરી નીચે નોંધાયેલા ભાવનગર જિલ્લાના 6 લાખથી વધુ વાહનોને ભાવ વધારો લાગુ પડશે. - આઈ.એસ.ટાંક, ઇન્ચાર્જ આર.ટી.ઓ., આર.ટી.ઓ. કચેરી ભાવનગર
રેર બીમારીથી પીડિત યુવતીને મળ્યું નવજીવન:મળાશયના પાછળના ભાગની ગાંઠનું કરાયું ઓપરેશન
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર્થે આવતા દર્દીઓમાં કયારેક જવલ્લે જ જોવા મળતા બિમારીનાં કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. મેડિકલ ક્ષેત્રે જવલ્લે જોવા મળતા કિસ્સામાં ભાવનગર સર ટી. હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં છેલ્લા બે મહિનાથી અસ્પષ્ટ પેટના દુ:ખાવા અને 15 દિવસથી કબજિયાતની સમસ્યા સાથે બોટાદ પંથકની 23 વર્ષીય યુવતીને સારવાર્થે લવાઈ હતી. એમ.આર.આઈ. રિપોર્ટના આધારે મેડિકલ ક્ષેત્રે ટેઇલગટ સિસ્ટ (મળાશયના પાછળના ભાગની ગાંઠ)ની તરીકે જાણીતી જન્મજાત ખામી હોવાનું માલૂમ પડતા સર ટી. હોસ્પિટલમાં મળાશયના પાછળના ભાગની ગાંઠનું સફળ જટિલ ઓપરેશન કરાયું હતું. જન્મજાત ટેઇલગટ સિસ્ટના કેસમાં શરૂઆતમાં લેપ્રોસ્કોપીક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જોકે સર્જરી દરમિયાન યુટેરસ રેટ્રોવર્ટેડ હોવાનું અને સિસ્ટ્ર આસપાસની રચનાઓ સાથે ચોંટેલું હોવાનું જણાયું હતું. તેથી સર્જરીને ઓપન પદ્ધતિમાં પરિવર્તિત કરવી પડી હતી. MRIમાં દેખાતી એક જ સિસ્ટ દેખાતી હતી, જોકે ઓપન પદ્ધતિની સર્જરી દરમિયાન બે સિસ્ટ સંપૂર્ણપણે કાઢી નાખવા માટે સર્જરી કરવાની યોજના બનાવવામાં આવી હતી. ડૉ.સમીર શાહ (પ્રોફેસર અને વડા, જનરલ સર્જરી વિભાગ, સર ટી. હોસ્પિટલ) અને ડૉ.વિક્રમ ગોહિલ (એસોસિયેટ પ્રોફેસર, જનરલ સર્જરી વિભાગ સર ટી. હોસ્પિટલ) સહિતની ટીમે જટિલ કહી શકાય તેવા કેસમાં અઢી કલાકના સફળ ઓપરેશનથી યુવતીને નવજીવન મળ્યું છે. ટેઇલગટ સિસ્ટ જનનાંગોને લગતી એક બીમારીટેઇલગટ સિસ્ટ આંતરિક અંગોને લગતી એક જટિલ બિમારી છે. જેમાં મળાશય, ગર્ભાશય, અંડાશયની બાહ્ય દિવાલ ઉપરાંત શરીરના આંતરિક અંગોમાં જોવા મળી શકે છે. વર્ષો પહેલા જુના જમાનામાં ટેઇલગટ સિસ્ટ જેવી બીમારીનું નિદાન થઈ શકતું ન હોય દર્દીની જીંદગી નરક જેવી બની જતી હતી. જોકે આજે મેડિકલ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના વિકાસથી જન્મજાત ગણાતી ટેઇલગટ સિસ્ટ બીમારીમાંથી દર્દીને ઉગારી શકાય છે. સામાન્ય ઓપરેશન કરતા ઘણું જટિલ ઓપરેશનકન્જેનિટલ ટેઇલગટ સિસ્ટ જેવા કિસ્સામાં આંતરિક ભાગોની સર્જરી કરવામાં આવતી હોય છે. જેમાં આંતરિક ભાગો સાથે જોડાયેલ ગાંઠને દૂર કરવાનું ઓપરેશન સામાન્ય ઓપરેશન કરતા ઘણું જટિલ ઓપરેશન હોય છે. ડૉ.સમીર શાહ, પ્રોફેસર અને વડા, જનરલ સર્જરી વિભાગ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર
માત્ર 3.5 ફૂટની હાઇટ, પણ કોમેડી વીડિયોમાં એક્ટિંગ એવી જોરદાર કરે કે જોઈને જ ખડખડાટ હસી પડાય. હાઇટ ઓછી હોવાને કારણે કેટકેટલી મજાકો સહન કરી, આત્મહત્યાના વિચારો આવ્યા ને જીવનમાં નાસીપાસ પણ થઈ જવાયું. આજે તો ગુજરાતના અનેક લોકો સેલ્ફી લેવા પડાપડી કરે છે. અમે વાત કરી રહ્યા છીએ મહેશ દાદાની... 'રીલના રાજ્જા'ના આજના પાંચમા ને છેલ્લા એપિસોડમાં આપણે વાત કરીશું ‘મહેશ દાદા’ તરીકે જાણીતા કન્ટેન્ટ ક્રિએટર મહેશ ગોરાણિયાની. મમ્મી-પપ્પા ખેતી કરેપોરબંદરના નાનકડા ગામ વાછોડામાં જન્મેલા મહેશભાઈના પિતા દુદાભાઈ ને માતા ટીમુબેન ખેતી કરે. પરિવારમાં મોટો દીકરો મહેશ ને નાનો દીકરો રામ. મહેશ દાદા વાતની શરૂઆત કરતાં કહે છે, 'હું તો ગામડામાં જ ભણ્યો. પછી એકાદ-બે વર્ષ બાજુના ગામમાં જઈને ભણ્યો ને હોસ્ટેલમાં રહ્યો. હું ખાસ ભણ્યો નથી. માત્ર નવ ચોપડી જ ભણ્યો છું. ઘરેથી ભણવાનો સતત આગ્રહ કરતા એટલે દસમામાં બોર્ડની એક્ઝામનાં બે પેપર આપ્યાં ને પછી તો એક્ઝામ આપી જ નહીં. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારને આ અંગે ખબર પડી. પછી આગળ ભણવામાં ખાસ રસ નહોતો. નાની ઉંમરે મારી પર પરિવારની જવાબદારી હોવાથી ભણવાનું એક બાજુએ રહી ગયું ને પછી કામધંધે વળગી ગયો.' ‘મહેશ દાદા’ નામ કેવી રીતે પડ્યું?મહેશ દાદા પોતાના જીવનની સફરની વાત શરૂ કરે તે પહેલાં જ અમે પૂછ્યું કે તમને ‘મહેશ દાદા’ કેમ કહેવામાં આવે છે? તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો, 'હું 16 વર્ષનો હતો ત્યારે નીતિનભાઈ (નીતિન જાની, ‘ખજૂરભાઈ’) સાથે કામ કરવાની શરૂઆત કરી. હું ઘણો જ તોફાની ને મસ્તીખોર છું. ગમે તેને ઉતારી પાડતો ને ગમે તેમ બોલી જતો. આ જ કારણે ભાઈએ મારું નામ 'મહેશ દાદા' પાડ્યું. મારામાં તો હવે એકદમ ચેન્જ આવી ગયો પણ મારું નામ મહેશ દાદા જ રહી ગયું.' નાનપણમાં લોકો બહુ મજાક ઉડાવતામહેશ દાદા કહે છે, 'ઓછી હાઇટ હોવાથી મારા ગામમાં બહુ મજાક નહોતી ઉડાવવામાં આવતી પણ જ્યારે હું બાજુના ગામમાં ભણવા ગયો ત્યાં બધા બહુ મજાક ઉડાવતા હતા. લોકો ‘ઠીંગણો’, ‘બટકો’ ને ખબર નહીં કેવું કેવું કહીને ગંદી મજાક કરતા. કારણ વગર ગમે તે રીતે હેરાન કરે. ઘણીવાર તો બાથરૂમમાં પણ પૂરી દેતા. બાજુના ગામમાં રહીને ભણતો, એટલે ત્યાં તો કોઈને ઓળખતો પણ નહોતો એટલે ત્યાં તો ચૂપચાપ સહન જ કર્યું. ત્યાં કોને ફરિયાદ કરવા જાઉં? શરૂઆતમાં એવું લાગતું કે હું કઈ જગ્યાએ ફસાઈ ગયો ને ક્યાં આવી ગયો? એક ડરને કારણે હું પહેલેથી જ લોકોની વચ્ચે રહેવાને બદલે એકલા રહેવાનું વધારે પસંદ કરું.' મને કોઈ બીમારી નથીપોતાની હાઇટ ઓછી હોવા અંગે મહેશ દાદાએ જણાવ્યું, 'ઘણા લોકોને એવું છે કે કોઈક બીમારીને કારણે મારી હાઇટ વધી નથી. સાચી વાત એ છે કે મને કોઈ જાતની બીમારી નથી ને મારી હાઇટ ના વધવા પાછળ કોઈ બીમારી કારણભૂત નથી. હું તદ્દન સામાન્ય વ્યક્તિ જ છું. મારા પરિવારમાં પણ કોઈની હાઇટ આટલી નાની નથી. નાનો ભાઈ તો સાત ફૂટ જેટલો ઊંચો છે. કુટુંબમાં પણ આવું કોઈ જ નથી. મારો જન્મ ગામડે થયો ને ત્યાં ડૉક્ટર કે હૉસ્પિટલની ખાસ સુવિધા ના હોય. હું નાનપણમાં બીમાર પડ્યો ને તાવ આવ્યો. પછી ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું ને નર્સે પોલિયોનાં બે ટીપાં આપ્યાં. આ કારણે હું 15 દિવસ કોમામાં રહ્યો. આ સમયે હું ત્રણ-સાડા ત્રણ મહિનાનો હતો. ત્યારબાદ સતત 10 વર્ષ સુધી મને નાની-મોટી બીમારીઓ થતી રહેતી.' પપ્પાએ આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં મારી પાછળ ખર્ચો કર્યો'પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. ખેતીમાંથી માંડ માંડ પૂરું થતું. પપ્પાએ મારી સારવાર પાછળ ઘણો જ ખર્ચો કર્યો છે. દસ વર્ષ સુધી પપ્પાએ કાળી મજૂરી કરીને મારી સારવાર કરાવી છે. ઘણીવાર એવું થતું કે હું જમવા બેસું ને એકદમ જ વોમિટ થઈ જાય તો પપ્પા ખિસ્સામાં પૈસા હોય કે ના હોય પણ તરત જ મને લઈને હૉસ્પિટલ જતા. મને આજેય એ વાત સાંભરે છે કે અનેકવાર પપ્પાનાં ખિસ્સાં ખાલી હોય ત્યારે પોરબંદરના ડૉક્ટર પપ્પાને એમ કહેતા કે અત્યારે પૈસા ના હોય તો વાંધો નહીં, આવે ત્યારે આપજો. આ રીતે મારી સારવાર થતી. પેરેન્ટ્સે મારી પાછળ ઘણું જ કર્યું ને એ વાતનો તેમણે ક્યારેય અફસોસ કે નિરાશા વ્યક્ત કરી નથી. અત્યારે હું જે પણ છું તે માત્ર પેરેન્ટ્સના આશીર્વાદને કારણે જ શક્ય બન્યું છે.' હાઇટ માટે ગુજરાતભરનાં દવાખાનાં રખડ્યાંમહેશ દાદા વાતને આગળ વધારતાં કહે છે, 'થોડાં વર્ષો બાદ પરિવારને ખ્યાલ આવ્યો કે મારી હાઇટ વધતી નથી. મારી ઉંમરનાં બાળકોની હાઇટ હતી, પણ મારી જ નહોતી વધતી. ઓછી હાઇટ હોવાને કારણે પેરેન્ટ્સ ઘણાં જ ટેન્શનમાં રહેતાં. ત્યારે તો હું એકનો એક દીકરો જ હતો ને પરિવારનો ઘણો જ લાડકો હતો. મારો નાનો ભાઈ છ વર્ષ પછી આવ્યો. પેરેન્ટ્સ ક્યારેય બાળકને હેરાન થતાં જોઈ શકે નહીં. પેરેન્ટ્સે દુઆ ને દવા બંને કરી હતી. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તેઓ મને લઈને ગુજરાતનાં તમામ દવાખાને ગયાં હતાં. તેમણે પૈસા સામે ક્યારેય જોયું નથી. ડૉક્ટર જે ટેસ્ટ કહે એ કરાવે, ભલે પછી તે ટેસ્ટ ગમે તેટલો મોંઘો જ કેમ ના હોય. મારી હાઇટ નોર્મલી વધે તે માટે બનતા તમામ પ્રયાસ કર્યા.' સાઇડ ઇફેક્ટને કારણે મારી હાઇટ ના વધી'મને આજે પણ યાદ છે કે મારા આખા બૉડીનો એક રિપોર્ટ તે સમયે 50 હજાર રૂપિયામાં થયો હતો. આ રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે નાનપણમાં મને જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેને કારણે મારી વિકાસની ગ્રંથિ એકદમ સાંકડી કે સુકાઈ ગઈ હતી અને તેને કારણે મારી હાઇટ નોર્મલ બાળક કરતાં ઘણી ઓછી વધે. આ રિપોર્ટમાં ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ થયાનું સામે આવ્યું. હું આજે બીજા નોર્મલ લોકોની જેમ જ તદ્દન સામાન્ય લાઇફ જીવું છું. રિપોર્ટ આવ્યા પછી પેરેન્ટ્સને એક જાતની શાંતિ થઈ. એમને અત્યાર સુધી એવું જ હતું કે મને કોઈ ગંભીર બીમારી છે અને તે જ કારણે મારી હાઇટ વધતી નથી. રિપોર્ટમાં એવી કોઈ આંચકાજનક વાત આવી નહીં ને હું એકદમ નોર્મલ છું તે વાત આવી એટલે તેઓ ખુશ થયા ને તેમને હાશકારો થયો. હું તો એટલું જ કહીશ કે હું ફિઝિકલી ને મેન્ટલી એકદમ ફિટ છું. સામાન્ય માણસો જે કામ નથી કરી શકતા તે તમામ કામો પણ હું કરી લઉં છું. હું પાંચમા-છઠ્ઠામાં હતો ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે મારી હાઇટ નોર્મલ વ્યક્તિ કરતાં ઓછી છે. મને દુનિયાદારીની સમજણ પડવા લાગી ને લોકો આવા જ હોય તે સમયે મેં મારી જાતનો સ્વીકાર કરી લીધો હતો કે હું આવો જ છું. મને ત્યારે મનમાં હતું કે હવે મારે દુનિયાને ખોટી પાડવાની છે કે મારી હાઇટ ઓછી છે એનો મતલબ એવો નહીં કે હું આ નહીં કરી શકું. મારે મારી જાતને સાબિત કરવાની હતી.' એક્ટિંગ ને ક્રિકેટનો ગાંડો શોખમહેશ દાદા આગળ કહે છે, 'મને નાનપણથી એક્ટિંગ ને ક્રિકેટનો ગાંડો શોખ હતો. હાઇટને કારણે હું ક્રિકેટ ફિલ્ડમાં આગળ જઈ શકું તેમ નહોતો. મારા માટે હવે એક્ટિંગમાં સ્કોપ હતો. સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ જગદીશસર હંમેશાં કહેતા કે તું આટલો બધો ઇતર પ્રવૃત્તિમાં ભાગ લે છે તો તેને બદલે ભણવામાં પણ ધ્યાન આપ. એ વાત અલગ છે કે જ્યારે પણ સ્કૂલમાં ફંક્શન હોય તો ત્યારે તેઓ મને શોધતા જ હોય કે તારે તો આમાં ભાગ લેવાનો જ છે. એ રીતે સ્કૂલ ટાઇમથી હું નાટકોમાં ભાગ લેતો થયો.' ડિપ્રેશનમાં આવી ગયો'દસમાની એક્ઝામનાં બે પેપર આપ્યાં બાદ પછી તો હું ખેતરમાં કામ કરવા લાગ્યો. ભણતર અધવચ્ચે છોડવાનું એક કારણ બધા મને હેરાન કરતા ને ડરાવતા હતા તે પણ હતું. આ જ કારણે મને એકલા રહેવાની ટેવ પડી ગઈ હતી. પરિવારમાં હું મોટો હતો એટલે આર્થિક જવાબદારી મારા ખભે હોય. ભણવા જાઉં તો લોકો મજાક ઉડાવે ને ખાસ ભણેલો નહીં એટલે નોકરી પણ કોઈ આપે નહીં. આ સમયે હું ખાસ્સો ડિપ્રેશનમાં આવી ગયો હતો. મને ખ્યાલ જ નહોતો આવતો કે મારે શું કરવું જોઈએ ને શુ્ં નહીં? આ સમયે અમારા મેર સમાજના રામભાઈ સાથે હું સંપર્કમાં આવ્યો. તેમની સાથે વાત થઈ ને તેમણે નીતિન જાની સાથે કામ કરવાની વાત કરી. મેં એમ કહ્યું કે તેમના વીડિયો જોયા છે અને હું તેમને અંગત રીતે તો ઓળખતો નથી. આમેય હું પોરબંદરના છેલ્લા ખૂણામાં રહેતો ને તે સુરતમાં. હું ક્યાં ને તેઓ ક્યાં... મારી વાત સાંભળીને રામભાઈએ કહ્યું કે તેઓ નીતિનભાઈના સંપર્કમાં છે અને જો હું હા પાડું તો તેમને મારા અંગે વાત કરે. મેં તરત જ નીતિનભાઈ સાથે કામ કરવાની હા પાડી. પછી તો રામભાઈએ બે દિવસમાં જવાબ આપવાની વાત કરી.' પહેલી જ વાર સુરત ગયો, મમ્મી આખી રાત જાગી'પછી તો મેં ઘરે આવીને રામભાઈ સાથે થયેલી બધી વાત પેરેન્ટ્સને કહી તો તેમણે એમ જ કહ્યું કે તારે જે કરવું હોય તે કર. અમે તને કોઈ રોકટોક કરીશું નહીં. બે દિવસ બાદ રામભાઈનો ફોન આવ્યો ને કહ્યું કે નીતિન જાનીએ તને સુરત બોલાવ્યો છે. તારું કામ ગમશે તો તને રાખી લેશે. મેં સામે એવો જવાબ આપ્યો કે મને ત્યાં જવામાં કોઈ વાંધો નથી. તમે કહેજો કે ઘરેથી ક્યારે નીકળવાનું છે? થોડા સમય બાદ મારે સુરત જવાનું નક્કી થયું. હું પહેલી જ વાર પોરબંદરની બહાર નીકળીને બારડોલી ગયો. જીવનમાં ખાલી બે વર્ષ હું મારા ગામની બાજુના ગામમાં ભણવા ગયો હતો. આ સિવાય ક્યારેય એકલો કોઈ જગ્યાએ ગયો જ નહોતો. પોરબંદરથી સુરત જવા બસ બેઠો. તમને નવાઈ લાગશે પણ તે રાત્રે મારી મમ્મી આખી રાત સૂતી નહોતી. તે મને થોડી થોડીવારે ફોન કરીને પૂછતી કે ક્યાં પહોંચ્યો? તને કંઈ થયું નથી ને? પછી મેં તો કંટાળીને કહ્યું કે તમે સૂઈ જાવ. હું પહોંચી જઈશ એટલે ફોન કરી દઈશ.' પહેલી જ વાર નીતિનભાઈને મળ્યો, ટેબલ પર ચઢીને નાસ્તો કર્યો'બસ સ્ટેન્ડ પર મને નીતિનભાઈ જાતે જ કાર લઈને લેવા આવ્યા હતા. રામભાઈએ તેમને કહ્યું હતું કે છોકરો નાનો છે તો જરા ધ્યાન રાખજો. જીવનમાં ક્યારેય એકલો ક્યાંય ગયો નથી, પહેલી જ વાર આ રીતે એકલો આવે છે. નીતિન ભાઈએ ત્યારે રામભાઈને સાંત્વના આપી હતી કે કોઈ વાંધો નહીં. તેઓ જાતે મને લેવા આવશે. મને બારડોલી બસસ્ટેન્ડે ઊતરવાનું કહ્યું હતું. બસમાંથી નીચે ઊતર્યો ને તે આખી નવી જ દુનિયા હતી. મેં ગામડા સિવાય કંઈ જ જોયું નહોતું. મને તો બધું જ નવું લાગ્યું. હું નીતિનભાઈને પહેલી જ વાર મળ્યો. ઘણો જ શરમાતો હતો. તેમણે મને પૂછ્યું કે નાસ્તો કરવો છે? મેં તો નીચું જોઈને જ હા પાડીને કહ્યું કે મને ભૂખ તો લાગી છે. પછી અમે બારડોલીના બસસ્ટેન્ડ આગળ નાસ્તો કર્યો. હું ટેબલ પર ચઢી ગયો ને મેં ખમણ ખાધાં હતાં. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આ વાત 2016 એન્ડની છે. કારમાં તો હું ચૂપચાપ બેસી રહ્યો ને કોઈ સાથે કંઈ જ બોલ્યો નહીં.' અમારું અહોભાગ્ય કે મહેશ દાદા અમારી સાથે છેનીતિન જાનીને મહેશ દાદાની પહેલી મુલાકાત અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'પહેલી જ વાર બારડોલીના બસ સ્ટેશન પર ફરસાણની દુકાનમાં મહેશ બેઠો હતો ને હું તેમને પહેલી જ વાર મળ્યો. ત્યારે એવો વિચાર પણ નહોતો કર્યો કે આ માણસ સાથે આટલાં વર્ષો નીકળી જશે. આજે અમારા બધા જ વીડિયોમાં સાથે હોય છે. મહેશ દાદા અમારી સાથે છે તે અમારું અહોભાગ્ય છે. પહેલી જ વાર આવ્યો ત્યારે નાનો એવો છોકરો હતો. એકદમ તોફાની ને મસ્તી ખોર પણ સાથે સાથે એટલો જ નિખાલસ પણ હતો. જોકે, તે જીવનથી હારેલો, કંટાળેલો ને ડિપ્રેશનમાં હતો. અમારી સાથે વાત ના કરે. તેમને કમ્ફર્ટ ઝોનમાં લાવતાં બે-ત્રણ મહિના લાગ્યા. પછી તો એટલા કમ્ફર્ટમાં આવી ગયા કે હું ને તરુણ આગળની સીટ પર હોઈએ ને મહેશ આર્મ રેસ્ટ પર બેઠા હોય. એમ કહેવું સહેજેય અતિશયોક્તિભર્યું નથી કે મેં મહેશને મોટો કર્યો, કારણ કે તેમની સાથે દસ વર્ષ થયાં. મહેશ દાદા હોય એટલે બધાને મસ્તી કરાવે. તેમની હાજરી માત્રથી બધાના ચહેરા પર આપોઆપ સ્માઇલ આવી જાય. જો અમારે કોઈ સાથે ઝઘડો થાય તો અમારા કરતાં તે પહેલા દંડો લઈને નીકળી જાય કે કોની સાથે ઝઘડવાનું છે. હું તો એટલું જ કહીશ કે જીવનમાં હાઇટ ક્યારેય મેટર કરતી નથી. જીવનમાં નિરાશ ને દુઃખી થયેલા લોકો માટે મહેશ દાદા આઇડિયલ ઉદાહરણ છે કે જીવનમાં ધારો તો શું થઈ શકતું નથી. ‘ખજૂરભાઈ સિંગતેલ’માં તેઓ મેનેજિંગ ડિરેક્ટર છે અને ગુજરાતભરના ડીલર્સ સાથે તેઓ જ વાત કરે છે.' પહેલી વાર કેમેરાનો સામનો કરતાં ડર લાગ્યોનીતિન જાની સાથે કરેલા પહેલાં વીડિયો અંગે મહેશ દાદા કહે છે, 'ભાઈ (નીતિન જાની) સાથે મારો પહેલો વીડિયો 'ગુમ થયેલ છે' એવો હતો. મારું કેરેક્ટર એવું હતું કે હું ગુમ થયાનું નાટક કરતો ને બધાને હેરાન કરતો. આમ તો મેં નાટકો કર્યાં હતાં, પણ કેમેરાની સામે પહેલી જ વાર એક્ટિંગ કરી તો ડર લાગ્યો હતો. અલબત્ત, કહેવાય છે ને કે ગુરુ જ તમારા તાકતવર હોય તો તે તમારામાં ધારે તે કરાવી શકે. ભાઈએ ઘણી જ સહજતાથી મારી પાસે કામ કરાવ્યું. છેલ્લાં દસેક વર્ષથી અમે સાથે છીએ અને તેઓ મને નાના ભાઈની જેમ રાખે છે. આટલા વર્ષોમાં મને ક્યારેય એવુ નથી લાગ્યું કે હું તેમના માટે કામ કરું છું અને હું તેમનો કર્મચારી છું. પહેલો વીડિયો ખાસ્સો ચાલ્યો ને પછી તો ક્યારેય પાછળ ફરીને જોયું જ નથી. અંદાજે મેં પાંચેક હજાર વીડિયોમાં કામ કર્યું છે.' એક્ટર બાય બોર્ન હોયમહેશ દાદાને એક્ટિંગ શીખવવા અંગે નીતિન જાનીએ જણાવ્યું, 'એક્ટર બાય બોર્ન હોય છે. ઘણા લોકો મોંઘી ફી ભરીને એક્ટિંગ ક્લાસમાં જાય પણ કલાકાર જન્મથી જ હોય છે. કલાને આકાર આપીને આગળ વધનારો એટલે કલાકાર. મહેશને એક્ટિંગ અંગે ખાસ કંઈ શીખવવું પડ્યું નહોતું. ડાયલોગ થોડા ચેન્જ થાય કે ડાયલોગ ડિલિવરી અલગ રીતે કરવાની હોય તો તે સમજાવ્યું અને આ તો બધાને શીખવવું પડે. મહેશ એક જ વારમાં કેચઅપ કરી લે છે.' દુનિયા શું વિચારે તેની પરવા ક્યારેય કરી નથીયુવતી બનવા અંગે મહેશ દાદા કહે છે, 'ભાઈએ જ્યારે યુવતીનો રોલ પ્લે કરવાની વાત કરી તો મને તો અંદરથી ઘણી જ ખુશી થઈ કે આજે મારે કંઈક હટકે કરવાનું છે. પછી તો ફટોફટ છોકરીના ગેટઅપમાં તૈયાર થયો. જોકે, એ વાત કહીશ કે તમામ મહિલાઓને મારે સેલ્યુટ કરવી છે કે તેઓ આટઆટલુ કામ કરે છે અને ક્યારેય તેમના ચહેરા પર થાક દેખાતો નથી. મહેશ દાદાને પૂછવામાં આવ્યું કે છોકરીનો રોલ પ્લે કરવામાં શરમ ના આવી તો તેમણે જવાબ આપ્યો, હું ધારું એ કરવામાં માનું છું. ગામ-દુનિયા શું વિચારે છે તે વાતોની પરવા મેં ક્યારેય કરી નથી. જો તમે આની પાછળ જ સતત વિચારો તો ક્યારેય સપનાં પૂરા જ ના થયા. મનમાં જે હોય તે કરવું જોઈએ. મનમાં તમને જે સાચું લાગે તે કરવું ને પછી કોઈની વાત સાંભળવી નહીં.' સ્ટાફના છોકરા-છોકરીને માર માર્યો હતોઆટલાં વર્ષોમાં નીતિન જાનીએ ક્યારેય ગુસ્સો કર્યો કે નહીં તે સવાલના જવાબમાં મહેશદાદા જણાવે છે, 'ભાઈ મારી પર ગુસ્સે નથી થયા, પરંતુ મને યાદ છે કે એકવાર ભાઈ બહાર ગયા હતા અને સ્ટાફ હતો, તેમાં બે છોકરા ને એક છોકરી હતી. મેં છોકરાઓને ઢીકા-પાટું માર્યાં ને છોકરીને પણ ઝાપટ મારી દીધી હતી. પછી આ બધાએ મારી ફરિયાદ કરી ને ભાઈ ત્યારે મારી પર બહુ જ ગુસ્સે થયા હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં મને કહ્યું હતું કે આ રીતે મારા-મારી કરે તે ના ચાલે. તું તો બહુ જ ડેન્જર છે. જો નહીં સુધરે તો તને થોડા દિવસની રજા આપી દઈશું. ભાઈ સાથે તો આજેય રોજ રકઝક થાય અને તે બે કલાક ચાલે. પછી હું બોલવા લાગુ. ભાઈથી રિસાઈ પણ જાઉં અને પછી ભાઈ જ મનાવે કે નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે. આમ તો મોટાભાગે વાંક મારો જ હોય.' મહેશ દાદા એટલે વાવાઝોડુંમહેશ દાદાની મસ્તીની વાત કરતાં નીતિન જાની કહે છે, 'મહેશ દાદા એટલે એક જાતનું વાવાઝોડું. તોફાન મસ્તી બહુ જ કરે. હાઇટ નાની છે પણ ધમાલમાં એમને કોઈ પહોંચે તેમ નથી. ગુસ્સો આવી જાય તો ગમે તેને શરૂઆતમાં મારી દેતા. ગુસ્સો ઘણો જ કરતા. પછી તેમને સમજાવ્યું કે જીવનમાં ગુસ્સો કોઈ પણ વાતનું સોલ્યુશન નથી. કોઈની સાથે ઝઘડો કરવો તે યોગ્ય નથી. કોઈ તમારો વિરોધ કરે છે, હેરાન કરે છે તો તેને ગમે તેવો જવાબ આપવાને બદલે કંઈક કરીને બતાવવું વધારે સારું. તેને કામથી જવાબ આપવો જોઈએ. જીવનમાં આગળ વધવું હોય તો કામથી લોકોને જીતવા જોઈએ.' ભાઈના પરિવાર સાથે પણ હળીમળી ગયો છું'હું જે દિવસે પોરબંદરથી આવ્યો ત્યારથી જ ભાઈ જ્યાં જાય ત્યાં તેમની સાથે જ રહું છું. ભાઈના પરિવાર સાથે એકદમ હળીમળી ગયો છું ને ત્યાં હું બિલકુલ તોફાન કરતો નથી. ભાઈ કરતાં પણ વધારે બોન્ડિંગ તેમના પરિવાર સાથે છે. મને બહારનું જમવાનું બહુ ભાવતું નથી. અમે સતત ટ્રાવેલિંગ કરીએ એટલે મોટાભાગે બહાર જ જમવાનું હોય એટલે જ્યારે ઘરે હોઈએ ત્યારે હું બા (નીતિનભાઈનાં મમ્મી) ને ભાભી (નીતિનભાઈના મોટા ભાઈઓનાં પત્ની)ને સામેથી જ કહી દઉં કે મારે આજે આ જમવું છે તો તેમણે ક્યારેય ના નથી પાડી કે આ નહીં બને કે પછી ક્યારેક બનાવી દઈશું. હું કહું ત્યારે બનાવી જ આપે. આ વાત મને વધારે ગમે છે. ગામડામાં જે લોકો મારી મજાક ઉડાવતા ને હેરાન કરતા તે જ લોકો આજે મને માન સન્માન આપે છે. તેમની નજરમાં હવે હું અલગ જ છું. એ લોકો વિચારતા થઈ ગયા કે હું આજે ક્યાં પહોંચી ગયો. પેરેન્ટ્સ તો પોતાના બાળકની પ્રગતિ જોઈને હંમેશાં ખુશ જ થાય. તેમને મારા પર ગર્વ છે. આજે નાના ગામડેથી નીકળેલો હું બારડોલીમાં મારું પોતાનું ઘર ને કાર છે. વિદેશમાં પણ ફર્યો છું. મને મારી જાત પર ઘણો જ ગર્વ છે. આજથી અઢી-પોણા ત્રણ વર્ષ પહેલા બારડોલીમાં પોતાનું ઘર લીધું. પરિવારને મારી સાથે જ બોલાવી લીધો, તો હવે અમે સાથે છીએ.' કસ્ટમાઇઝ કરેલી કાર છે'તમે નહીં માનો, મને નાનપણથી વાહન ચલાવવાનો ઘણો જ શોખ. મેં શરૂઆત જેસીબી ચલાવવાથી કરી હતી. પછી ટ્રેક્ટર ચલાવતા શીખ્યો. હવે પ્લેન ને ટ્રેન જ ચલાવવાનાં બાકી છે. શરૂઆતમાં હું ભાઈના પપ્પાની ઝેન કાર કસ્ટમાઇઝ કરીને ચલાવતો. શરૂ શરૂમાં તો મારા એરિયા પૂરતી ચલાવતો પણ પછી ક્યાંક વધારે દૂર જવાનું થાય તો મને લાઇસન્સ ના હોય તો ગમે નહીં. પછી તો લાઇસન્સ માટે અરજી કરી પણ બે વર્ષના અંતે મને મળ્યું. આ દરમિયાન મારી પાસે ઢગલાબંધ સર્ટિફિકેટ માગવામાં આવ્યાં અને તે બધાં આપ્યાં. હાલમાં મારી પાસે ‘આઇ 10’ કાર છે.' વિદેશ પ્રવાસમાં મને અચૂક રોકેપહેલા વિદેશ પ્રવાસની વાત કરતાં મહેશ દાદા જણાવે છે, 'હું 18 વર્ષનો પણ નહોતો અને પહેલી જ વાર હોંગકોંગ ગયો હતો. અત્યાર સુધી મેં ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, દુબઈ, યુરોપ સહિતના 17-18 દેશો ફર્યા છે અને જ્યારે પણ વિદેશ જાઉં ત્યારે એરપોર્ટ પર કોઈક ને કોઈક સમસ્યા આવી જ જાય છે. હવે તો હું જ્યારે પણ એરપોર્ટ જાઉં એટલે તરત જ ભાઈનો હાથ પકડી જ લઉં. મને ખ્યાલ છે કે ચેકિંગ સમયે કંઈક ને કંઈક આવી જ જાય. પહેલી જ વાર હોંગકોંગ ગયો ત્યારે ઇમિગ્રેશન ચેકિંગમાંથી ભાઈ પહેલાં નીકળી ગયા ને હું પાછળ હતો. પહેલી જ વાર જતો હતો એટલે ખ્યાલ નહોતો કે મને આ રીતે રોકશે. મને ત્યારે અંગ્રેજી બહુ આવડતું નહોતું. ઑફિસરે મને અટકાવ્યો ને અંગ્રેજીમાં મારી સાથે વાત કરી. તેમનું અંગ્રેજી પણ સમજાય તેવું નહોતું. તેમણે પહેલાં મારી ઉંમર પૂછી તો એક બે મિનિટ તો હું વિચારે ચઢી ગયો. પછી તેમણે ફરી પૂછ્યું તો મેં ઉંમર કહી તો તેમણે પાસપોર્ટ જોયો ને મારી હાઇટ જોઈ. મને તો ખબર જ ના પડે કે મારે જવાબ શું આપવો? હું તો સામે જોઈને ઊભો રહ્યો. પછી મને સાઇડમાં લઈ જઈ ઑફિસમાં બેસાડી દીધો ને ત્યાં તો પોલીસ પણ હતી. હું તો આ જોઈને જ ડરી ગયો. હું મનોમન બોલવા લાગ્યો કે હે ભગવાન બચાવી લેજો.... ભાઈ તો બહાર નીકળી ગયા. તેમનો કોન્ટેક્ટ થાય નહીં. તેઓ પેલી બાજુ મારી રાહ જુએ. પછી ઑફિસમાં મને સવાલ કર્યો કે તમે શું કામ કરે છો? તો મેં યુ ટ્યૂબર હોવાની વાત કરી. તો તેમણે વીડિયો જોવા માગ્યા. કરમની કઠણાઈ કે મારું નેટ ત્યારે ચાલતું નહોતું. તેમણે ફોનમાં વાઇફાઇ કનેક્ટ કરી આપ્યું. મેં યુ ટ્યૂબ ખોલ્યું પણ કોઈ વીડિયો ચાલે જ નહીં. થોડીવાર પછી એક વીડિયો ઓપન થયો અને તે મંકીવાળો વીડિયો હતો. હું તે વીડિયોમાં મંકી બન્યો હતો. પોલીસ ને અધિકારીઓએ આ વીડિયો જોયો ને મને પૂછ્યું કે તું મંકી બન્યો છે તો મેં હા પાડી. તેઓ અંદરોઅંદર ખડખડાટ હસી પડ્યા ને પછી પાસપોર્ટ પર સ્ટેમ્પ મારીને જવા દીધો.' દુબઈમાં ડર માર્યા મહેશ દાદા સિંગાપોર બોલી ગયાનીતિન જાની પણ સ્વીકારે છે કે, 'પાસપોર્ટ તો મહેશ દાદા એકલા જ કઢાવવા ગયા હતા અને ત્યાં કોઈ વાંધો આવ્યો નહોતો. અલબત્ત, એરપોર્ટ પર જ્યારે પણ જઈએ ત્યારે અધિકારી મહેશ દાદાનો પાસપોર્ટ જુએ ને ચહેરો જોવા માટે નીચે નમે. હાઇટની સમસ્યાને કારણે આવું થાય છે. તેમની ઉંમર 24-25 વર્ષની પણ હાઇટ એકદમ નાની એટલે અધિકારી કન્ફ્યૂઝ થઈ જાય. અમે ઘણા દેશો ફર્યા પણ દરેક એરપોર્ટ પર અડધો પોણો કલાક ખોટી થવું જ પડે. એકવાર અમે દુબઈ જતા હતા ને એરપોર્ટ પર અધિકારીઓ શેખનાં કપડાંમાં હતા. મહેશ દાદાને જોયા ને પૂછ્યું કે ક્યાં જવું છે? મહેશ દાદાને બીક લાગી તો તેમણે એવું કહી દીધું કે સિંગાપોર જવું છે. અધિકારી કન્ફ્યૂઝ કે આ આવે છે દુબઈમાં ને સિંગાપોર જવાની વાત કેમ કરે છે? આજુબાજુમાં બધા ભેગા થઈ ગયા ને અધિકારી હાથ પકડીને મહેશ દાદાને સાઇડમાં ઑફિસમાં લઈ ગયા. બધાને આ રીતે ભેગા થયેલા જોઈને અમને લાગ્યું કે મહેશ દાદાને જ રોક્યા છે તો અમે પણ ત્યાં ગયા ને વાત કરી કે તેઓ પહેલી જ વાર દુબઈ આવ્યા છે તો આવું થયું છે. મહેશ દાદાની વિદેશના કોઈ પણ એરપોર્ટ પર ઇન્ક્વાયરી થાય જ છે.' પૈસા બાબતે ક્યારેય વાત નથી થઈનીતિનભાઈ પૈસા આપે છે કે નહીં તે પૂછતાં મહેશ દાદા બોલી ઊઠ્યા કે, 'ભાઈ સાથે ક્યારેય પૈસા બાબતે વાત જ થઈ નથી. એમને ક્યારેય મારો પગાર ફિક્સ કર્યો નથી ને મેં એમને ક્યારેય સામેથી પગાર કેટલો તે પૂછ્યું નથી. મારે જ્યારે પણ જે વસ્તુ જોઈએ ત્યારે હું ભાઈને પૂછ્યા વગર જ તેમના ડ્રોઅરમાંથી પૈસા લઈ આવું. એ આવે એટલે કહી દઉં કે મેં આટલા પૈસા લીધા હતા. આજ દિન સુધી ભાઈએ ક્યારેય મારી પાસે પૈસાનો હિસાબ માગ્યો નથી. શરૂઆતમાં ત્રણ વીડિયો બનાવ્યા અને પછી હું ઘરે ગયો હતો. ભાઈએ બે દિવસ ઘરે જવાની વાત કરી હતી. હું ખુશી ખુશી ઘરે જવા તૈયાર થયો અને ભાઈએ મને ત્રણ વીડિયોના 15 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત આવવા-જવાની ટિકિટ પણ આપી હતી. હું મારી પહેલી કમાણીના 15 હજાર રૂપિયા લઈને ઘરે જતો હતો. આ સમયે તો હું સાતમા આસમાને હતો. ત્યારે મને લાગ્યું કે મેં જીવનમાં કંઈક હાંસલ કરી લીધું છે. હું બસમાં બેઠો ત્યારે જ ઘરે ફોન કરીને આવવાની વાત ને જીવનની પહેલી કમાણી અંગે કહ્યું હતું. પછી તો મમ્મી પપ્પા માટે પોરબંદર માર્કેટમાંથી ખરીદી કરી હતી. પેરેન્ટ્સને મારી પર ગર્વ છે. આજ દિન સુધી કોઈ વસ્તુની રોકટોક નથી. તેમણે એક જ વાત કહી કે જે પણ કરે તે યોગ્ય રીતે કરજે અને યોગ્ય રસ્તે થઈને કરજે.' ચાર વર્ષ રિલેશનશિપમાં હતો ને બ્રેકઅપ થયુંમહેશ દાદા કહે છે, 'કોઈ સારું ને યોગ્ય પાત્ર મળશે તો હું લગ્ન પણ કરીશ. ભૂતકાળમાં હું ચાર વર્ષ સુધી એક રિલેશનશિપમાં હતો, પરંતુ તે છોકરી મને તરછોડીને જતી રહી. બ્રેકઅપ થયું ત્યારે ઘણો જ દુઃખી ને દેવદાસ બનીને ફરતો, ઘરમાં તોડફોડ કરતો, પરંતુ પછી થયું કે હું તેના માટે મારું જીવન કેમ બરબાદ કરું. એણે મારી કદર ના કરી તો હું કેમ દુઃખી ને વ્યાકુળ બનીને જીવું. આ તો હું મારા જ પગ પર કુહાડી મારું છું. પછી હું મોજમાં જીવવા લાગ્યો.' હથિયાર હેઠાં મૂકવા કરતાં મક્કમતાથી લડવાનું પસંદ કરું છુંમહેશ દાદા સ્વીકારે છે, 'શરૂઆતના સમયમાં થતું કે હું વધારે ભણ્યો હોત તો સારું થાત. પછી મનને એ રીતે મનાવ્યું કે જો હું ભણ્યો હોત તો આજે કોઈ જગ્યાએ નોકરી કરતો હોત. પણ હું લોકોમાં આ રીતે લોકપ્રિય તો ના જ થયો હોત. અત્યારે જે છું તેમાં બહુ જ ખુશ છું. મહેશદાદા છેલ્લે સલાહ આપતાં કહે છે, લોકો હદ કરતા વધારે મજાક ઉડાવતા ત્યારે મને આત્મહત્યાના વિચારો પણ આવતા. ત્યારે હું અણસમજુ હતો ને સફળ પણ નહોતો. આ બધામાંથી બહાર કેવી રીતે આવ્યો તો એટલું જ કહીશ કે પાછળ ફરીને જોતા એ વાત સમજાઈ ગઈ કે આખો પરિવાર મારી પર આધાર રાખે છે. તેમને એકલા અટૂલા છોડીને હું આ રીતે જઈ શકું નહીં. પરિવાર મારી જવાબદારી છે. હું પરિસ્થિતિ સામે હથિયાર હેઠાં મૂકવાને બદલે મક્કમતાથી લડું તે મહત્ત્વનું છે. ભગવાને આપણને જીવન આપ્યું છે અને મોટાભાગે દરેક બાબતના બે રસ્તા હોય છે અને તેમાંથી આપણે કયો રસ્તો પસંદ કરવો ને કયો નહીં તે સંપૂર્ણ રીતે આપણા પર આધાર રાખે છે. હું જો સંજોગો સામે હારીને બેસી ગયો હોત તો પોરબંદરના ગામડામાં જ હોત. આ રીતે મેં ક્યારેય દુનિયા જોઈ જ ના હોત. હિંમત ક્યારેય હારશો નહીં ને પરિસ્થિતિ સામે લડીને સામનો કરવો જોઈએ. નીતિન જાની માને છે, મહેશ દાદા સાથે રહેવું લ્હાવો છે. કોઈ વ્યક્તિ મહેશ દાદા સાથે એક દિવસ રહે તો તે માની જાય કે આના જેવી કોઈ વ્યક્તિ જ નથી.પૈસા પણ દિલથી વાપરે. ખિસ્સામાં હજાર હોય તો 999 રૂપિયા સામેની વ્યક્તિ માટે ખર્ચે ને પોતાની માટે માત્ર એક રૂપિયા રાખે.'
ગુરૂવારે ખેડા જિલ્લાના લવાલ ગામે 25 કન્યાઓના સમૂહ લગ્ન યોજાયા હતા. અત્યારે તો કમુહૂર્તા ચાલે છે તો આવામાં સમૂહ લગ્ન કોણે કરાવ્યા? આ પ્રશ્ન કદાચ તમારા મનમાં ઉદભવશે. જેનો જવાબ છે મહિપતસિંહ ચૌહાણ. પૂર્વ સરપંચ કહો કે સોશિયલ મીડિયા સ્ટાર કહો કે સમાજ સેવક કહો, મહિપતસિંહની ઓળખ ઘણી છે. યુટ્યૂબ પર બાપુ બોલેગા નામનો શો કરતા મહિપતસિંહની ગણતરી ગુજરાતમાં પોતાના NGO થકી સમાજસેવા કરનારા જૂજ પ્રખ્યાત લોકોમાં થાય છે. દીકરીઓને ભણવા માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવાથી લઇ શરૂ થયેલી સફર આજે નિરાધાર વૃદ્ધો, અનાથ દીકરીઓની સેવાથી લઇ હવે પરણાવવા સુધી પહોંચી છે. વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકવા આવતા સંતાનોને ઠપકો આપતા મહિપતસિંહના વીડિયો પણ તમે જોયા જ હશે. ખેડા જિલ્લાના લવાલ ગામે જન્મેલા મહિપતસિંહની કોલકાતામાં ઉચ્ચ પગારની સરકારી નોકરીથી લઇ સરપંચ અને ત્યારબાદ સમાજસેવા સુધી પહોંચવાની સફર ખૂબ રસપ્રદ છે. દિવ્ય ભાસ્કરની ટીમ લવાલ પહોંચી હતી અને મહિપતસિંહ સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને મહિપતસિંહ ચૌહાણના જવાબ.... દિવ્ય ભાસ્કરઃ તમે સરપંચની ચૂંટણીમાં કેમ ઝંપલાવ્યું હતું?મહિપતસિંહઃ હું ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામનો વતની છું. મેં આ જ ગામમાં રહીને અભ્યાસ કર્યો છે. વર્ષ 2009માં મને કોલકાતામાં SBIમાં નોકરી મળી હતી અને હું ત્યાં નોકરી કરવા ગયો હતો. ડિસેમ્બર 2016 સુધી મે ત્યાં રહીને નોકરી કરી હતી. ડિસેમ્બરમાં જ્યારે હું મારા ઘરે આવ્યો ત્યારે ગામના સરપંચની ચૂંટણી આવવવાની હતી. એ સમયે મેં નક્કી કર્યું કે મારે ચૂંટણી લડવી છે અને કંઇક નવું કરવું છે. મારે 5 વર્ષ મારા ગામને આપવા છે. જેના પછી હું ચૂંટણી લડ્યો અને ગામ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને હું સરપંચ બની ગયો. દિવ્ય ભાસ્કરઃ તમે નોકરી છોડી ત્યારે પરિવારે તમને શું કહ્યું હતું?મહિપતસિંહઃ એ સમયે ખૂબ દુઃખ વેઠ્યું છે. એક સમય એવો આવ્યો હતો કે સરપંચ બન્યા પછી મારે જમીન પણ ગીરવે મૂકવી પડી હતી એટલે જેટલું દેખાય છે એટલું સરળ નથી હોતું. જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે શરૂઆતમાં ખૂબ તકલીફ વેઠવી પડતી હોય છે. 'મારા પપ્પા નથી પરંતુ મમ્મીએ કહ્યું હતું કે, જો બેટા તારે સપના પૂરા કરવા છે પરંતુ ઘર કેવી રીતે ચાલશે? એ સમયે મેં કહ્યું હતું કે મમ્મી હું મેનેજ કરી લઇશ. થોડી તકલીફ પડશે પરંતુ સારા કામ કરવાનું લક્ષ્ય છે તો લોકો પણ સાથ આપશે. મને આનંદ છે કે મારા ખરાબ સમયમાં મારા સાથી મિત્રો અને મારા ચાહકવર્ગે મને ખૂબ સાથ આપ્યો છે. મારા નજીકના મિત્રોએ ખરાબ સમયમાં ખૂબ આર્થિક મદદ પણ કરી છે.' દિવ્ય ભાસ્કરઃ તમે સરપંચ હતા ત્યારે તમારો વિરોધ શા માટે થયો હતો?મહિપતસિંહઃ મેં ગામમાં દારૂબંધી કરાવી એટલે કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો. મેં વિકાસ માટે ગામના કેટલાક દબાણો દૂર કરાવ્યા એ સમયે પણ ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મારા પર નાના-મોટા 11 કેસ થયા, મારે ગાંધીનગર પણ રહેવું પડ્યું પરંતુ એ વાતનો આનંદ છે કે આજે એ લોકો પણ કહે છે કે મહિપતસિંહ તમે સાચા હતા. દિવ્ય ભાસ્કરઃ કયા કેસમાં તમને સરપંચપદેથી હટાવાયા હતા?મહિપતસિંહઃ મારા ગામમાં બાવળની હરાજી થઇ હતી. આ હરાજી ફેસબૂક પર લાઇવ ટેલિકાસ્ટ થતી હતી. તલાટી પણ ત્યાં હાજર હતા. આખું ગામ ત્યાં હાજર હતું પરંતુ મારા પર આરોપ એવો લાગ્યો કે મહિપતસિંહે કોઇને પૂછ્યા વગર હરાજી કરી નાખી. એ હરાજીના પૈસા પણ પંચાયતમાં જમા કરવામાં આવ્યા છે. 'તલાટીએ સમગ્ર કાર્યવાહી કરી છે. પરંતુ મારી અપીલ સાંભળ્યા વગર બીજા જ દિવસે મને હટાવી દેવામાં આવ્યો. 2019માં મને કહેવામાં આવ્યું કે તમે કામમાં ગેરરીતિ કરો છો અને તેના કારણે તમને પદ પરથી હટાવવામાં આવે છે પરંતુ આ એક રાજકારણ હતું. હું આગળ વધતો હતો તે કેટલાક લોકોને ગમતું નહોતું.' 'અમે જ્યારે વિકાસ કમિશનર સામે અપીલમાં ગયા તો 2.5 વર્ષ સુધી કેસ આગળ જ ન વધ્યો, આખી ટર્મ પૂરી થઇ ગઇ અને પાછી ચૂંટણી આવી ગઇ. મજાની વાત એ હતી કે હું ફરી ચૂંટણીમાં ઊભો રહ્યો અને આખા ગામે ફરીથી મને જીતાડ્યો.' 'મને દૂર કરવા અને ખરીદવાના અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા પછી મને ખોટી રીતે હટાવવામાં આવ્યો. તેમને એમ હતું કે સરપંચપદેથી દૂર કરીશું એટલે આ વાત અહીંયા પૂરી થઇ જશે પરંતુ તેવું ન થયું. મને થયું કે લોકોની સેવા કરવી છે. જેથી મેં આ માર્ગ અપનાવ્યો. મેં યુવાનોને સરપંચ બનવા માટે ગુજરાતમાં પ્રવાસ કરી પ્રોત્સાહિત કર્યા. મારી ટીમમાં મને રાજ્યભરના 700થી વધુ સરપંચ પણ મળ્યા.' દિવ્ય ભાસ્કરઃ તમે ફરી રાજકારણમાં આવશો?મહિપતસિંહઃ સરપંચ બન્યાને 2 વર્ષ થયા અને હું જે સારી રીતે કામ કરી રહ્યો હતો તે કેટલાક લોકોને ન ગમ્યું. મને પદ પરથી હટાવવામાં આવ્યો. આ પછી મેં નક્કી કર્યું કે હવે 5 વર્ષ નહીં આખી જિંદગી અહીંયા જ રહેવું છે. આપના ઇન્ટરવ્યૂમાં જ કહી દઉં કે રાજકારણ મારૂં અંતિમ લક્ષ્ય છે. તમે મારા દરેક કામને રાજનીતિની રીતે જોઇ શકો છો. ઘણા લોકો પાછળથી આવું બધું કહે છે પણ હું પહેલેથી જ કહી દઉં છું. 'હું દરેક ચૂંટણીમાં ઊભો રહું છું પરંતુ મારી અલગ વિચારધારા છે. હું ખર્ચો કર્યા વગર ચૂંટણી લડું છું. હું માનું છું કે યુવાનોએ રાજકારણમાં આવવું જોઇએ. હું 2017ની ચૂંટણી પણ લડ્યો હતો અને 2022ની ચૂંટણી લડ્યો હતો. જેમાં મને 20 હજાર મત મળ્યા હતા. કંઇપણ ખર્ચો કર્યા વગર 20 હજાર મત મળ્યા તે મારા માટે મોટી વાત છે.' દિવ્ય ભાસ્કરઃ તમારે રાજકારણમાં જવાનું થાય તો કઇ પાર્ટીમાં જોડાશો?મહિપતસિંહઃ જે દિવસે મારી પાસે વધારે પૈસા આવશે ત્યારે હું મારી પોતાની પાર્ટી બનાવીશ એટલે મારી વિચારધારાથી કામ તો થાય પરંતુ આ બહુ અઘરું કામ છે. હું અપક્ષમાં ઊભો રહું છું. 500 મતથી માંડીને 20 હજાર મત સુધી પહોંચ્યો છું. 'હજી હું 2027ની ચૂંટણી લડીશ અને હારી જઇશ તેની માનસિક તૈયારી છે. ભલે 2037 સુધી લડવું પડે તો પણ હું લડીશ. આખા ગુજરાતમાં યુવાનોને ભેગા કરીને ભવિષ્યમાં નવી પાર્ટી બનાવવાનું મારૂં સપનું છે.' 'ભલે ગમે તેટલી ચૂંટણી હારવી પડે પરંતુ પૈસા ખર્ચીને હું ચૂંટણી નહીં લડું. કારણ કે મારી પાસે વૃદ્ધોને રાખવા, અનાથને ભણાવવા કરોડો રૂપિયા છે પરંતુ મત ખરીદવા માટે એક પૈસો પણ નથી.' દિવ્ય ભાસ્કરઃ અત્યારના રાજકારણ વિશે શું કહેશો?મહિપતસિંહઃ અત્યારે કામનું નહીં પરંતુ સીનસપાટાનું રાજકારણ થઇ રહ્યું છે. સામાન્ય લોકોના કામો નહીંવત થઇ રહ્યા છે. જે ખરી તકલીફ છે તેના વિશે કોઇ નેતા બોલતા નથી. માત્ર વિવાદનું રાજકારણ ચાલે છે. કોઇ વિરોધમાં બોલે પછી બીજો એનો જવાબ આપે છે પરંતુ લોકોનું ભલું વિવાદથી નથી થતું. લોકોને મૂંઝવણ છે કે પોતાની તકલીફ ક્યાં જઇને કહેવી. ગુજરાતમાં એક પણ એવો નેતા નથી. દિવ્ય ભાસ્કરઃ તમારી આવકનો સ્ત્રોત શું છે?મહિપતસિંહઃ અનેક લોકોને મારી આવક અંગે પ્રશ્ન હોય છે. હું ચોખવટ કરી લઉં કે હું આખો દિવસ સમાજસેવા કરું છું પરંતુ મારી પોતાની આવક સોશિયલ મીડિયા દ્વારા છે. 'હું વકીલાત તો કરું જ છું પરંતુ તેના કરતા વધારે મને યુ ટ્યૂબ અને ફેસબૂકથી ગયા વર્ષે 48 લાખ રૂપિયાનું પેમેન્ટ મળ્યું હતું એટલે મારી મહિનાની 5 લાખ રૂપિયા વ્હાઇટની ઇનકમ છે. સારા કામ કરીને પણ લાખો રૂપિયા કમાઇ શકાય છે. સોશિયલ મીડિયા માત્ર કમાવાનું નહીં પરંતુ લોકોની સેવાનું પણ માધ્યમ બની શકે છે.' મહિપતસિંહ સરપંચ તો બની ગયા પરંતુ તેઓ બાજુમાં આવેલા ગામની જે હાઇસ્કૂલમાં ભણ્યા હતા તે બંધ થઇ ગઇ. તેમને એવી ઇચ્છા હતી કે આ હાઇસ્કૂલ ફરી શરૂ થાય પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી. તેમને કોઇએ કહ્યું કે જો બહારથી વિદ્યાર્થીઓ લાવવામાં આવે અને સંખ્યા થઇ જાય તો હાઇસ્કૂલ ફરીથી શરૂ થઇ શકે છે. આ વાતથી તેમની સમાજસેવાની શરૂઆત થઇ. તેમને આ હાઇસ્કૂલમાં ભણવા માટે બહારથી બાળકો લાવી તેમની રહેવાની વ્યવસ્થા કરી. આ આંકડો પહેલા 20-25નો હતો આજે મહિપતસિંહના સંકુલમાં 1083થી વધુ બાળકો રહે છે અને આસપાસની શાળા-કોલેજમાં અભ્યાસ કરે છે. દિવ્ય ભાસ્કરઃ તમે સમાજ સેવાના કયા કયા કાર્યો કરો છો?મહિપતસિંહઃ અમે લોકોના 600થી વધુ ઓપરેશન કરાવ્યા છે. જેની કિંમત 50 હજારથી લઇને 10 લાખ સુધી છે. અત્યારે બે સંકુલમાં થઇને 1083થી વધુ અનાથ બાળકો રહે છે. આ ઉપરાંત ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું નવું સંકુલ બની રહ્યું છે. જ્યાં 2 હજારથી વધુ બાળકો રહેવાના છે. 'આજે સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. અહીંયા 700થી વધુ વૃદ્ધો રહે છે. આ ઉપરાંત અમે દિવ્યાંગ આશ્રમ પણ ચલાવીએ છીએ જ્યાં દિવ્યાંગ વૃદ્ધોને રાખવામાં આવે છે. હમણાં જ 100 વડીલો રહી શકે તેવું નવું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે.' 'આણંદમાં પણ અમારૂં એક બીજું વૃદ્ધાશ્રમ શરૂ થયું છે. આગામી સમયમાં અમે આણંદ વિદ્યાનગરમાં શિક્ષણ સંકુલ પણ ખૂલ્લું મુકી રહ્યા છીએ. જેનું કામ પૂરું થવાના આરે છે ત્યાં પણ 700 વિદ્યાર્થીઓ મફતમાં રહી ભણી શકે તેવી વ્યવસ્થા છે. આ તમામ વસ્તુ લોકોના સહયોગના કારણે શક્ય છે.' 'હું 2020-21માં મજૂરોના મિનિમમ વેતન માટેની લડાઇ લડતો હતો. મિનિમમ વેતનનો કાયદો આખા ગુજરાતમાં કોઇ અમલ કરતું નહોતું. મેં તે લડાઇ હાથમાં લીધી હતી. અમે કાયદાકીય લડાઇ લડ્યા. જેમાં અનેક જગ્યાએ સફળતા મળી. જેમને માત્ર 200 રૂપિયા મહેનતાણું મળતું તેમને કાયદા મુજબ 340 રૂપિયા મળવા લાગ્યા.' 'આ તમામ મજૂરોએ 100-500 રૂપિયા ઉઘરાવીને મને ફંડ આપ્ચું. તે જ સમયે આ ઇમારતનું કામ ચાલુ હતું. એ પછી ફંડ આવતું ગયું અને મારી સમસ્યા દૂર થતી ગઇ. આ ઇમારત ઊભી કરવામાં મજૂરોએ પણ સહયોગ આપ્યો. પોતાના રજાના દિવસોમાં તેઓ અહીં આવીને મદદ કરતા હતા એટલે આ રીતે પહેલી ઇમારત બનવાનો શ્રેય આ તમામ કામદારોને જાય છે.' દિવ્ય ભાસ્કરઃ વૃદ્ધાશ્રમને લગતો કોઇ કિસ્સો કહોમહિપતસિંહઃ મારી પાસે વૃદ્ધ અને વિદ્યાર્થી એમ મળીને રોજના 10 એડમિશન આવે છે. કોઇ ઓપરેશન માટે મદદ માંગવા પણ આવે છે. મને ખર્ચની ચિંતા નથી, એ તો સરળતાથી મળી જાય છે. ચિંતાનો વિષય એ છે કે લોકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. 'વૃદ્ધાશ્રમ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યાં છે. જેના વડીલો અહીં રહેવા આવે તેના વીડિયો મૂકીએ તો અમને ધમકી પણ મળતી હોય છે. જે માતા-પિતાને અહીં મૂકી ગયા છે તેમના વીડિયો મૂકીએ તો દીકરાઓને એમ થાય છે કે સમાજમાં મારી બદનામી થાય છે. મને મારવાની અને સંસ્થા બંધ કરવાની અનેક ધમકી મળે છે.' 'કેટલાક કિસ્સાઓેમાં વૃદ્ધ અહીંયા અવસાન પામે તે પછી પણ તેમને લેવા તેમના સંતાનો નથી આવતા. અમે કહીએ છીએ કે અંતિમવિધિ માટે તમે લઇ જવા ઇચ્છતા હોય તો અમારૂં વાહન મૂકવા આવશે ત્યારે પણ કેટલીક વાર એવો જવાબ મળે છે કે અમારી પાસે સમય નથી.' 'અંતિમ સંસ્કારની વિધિ પત્યા પછી તેના સંતાનો મરણનો દાખલો લેવા આવે છે. આવી ખરાબ પરિસ્થિતિ થઇ છે, જે જોઇ શકાય તેમ નથી. 2-3 દિવસ અહીંયા રહો તો ખબર પડી જાય કે કળિયુગ કઇ હદે ચરમસીમા પર છે.' દિવ્ય ભાસ્કરઃ કોઇ વૃદ્ધને જ્યારે તમારા વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે ત્યારે તમે તેને ઠપકો આપતો વીડિયો કેમ બનાવો છો?મહિપતસિંહઃ વૃદ્ધાશ્રમ ચલાવવા મારો શોખ નથી. હું નથી ઇચ્છતો કે આવા વૃદ્ધાશ્રમ ચાલે. મારુ સપનું છે કે આ બધા વડીલો પોતપોતાના ઘરે રહે. જે વડીલ હોય તે પોતાના ઘરે ન હોય? મારે એ દીકરાને સમજ પાડવી છે કે આ તારી જવાબદારી છે. જે મા-બાપે તને મોટો કર્યો, આખી જિંદગી ઘસી નાખી પરંતુ અત્યારે તે વૃદ્ધ છે, કમાઇ શકે તેમ નથી. તારી કમાણીનો હિસ્સો તેમની પાછળ જઇ રહ્યો છે ત્યારે તમને તે બોજ લાગે છે. 'દીકરાને ખખડાવતો વીડિયો બનાવવા બદલ મારો વિરોધ થાય તો પણ હું બનાવીશ. એકવાર નહીં દસ વાર વીડિયો બનાવીશ. જ્યાં સુધી તે દીકરાને એમ ન થાય કે મારા મા-બાપને પાછા લઇ જઉં ત્યાં સુધી વીડિયો બનાવતો રહીશ.' દિવ્ય ભાસ્કરઃ સમાજ સેવાના કાર્ય દરમિયાન તમને કોઇ કડવો અનુભવ થયો છે?મહિપતસિંહઃ એકવાર મને ફસાવવા માટે એક બાળકને અહીં મૂકી જવામાં આવ્યું હતું. બે દિવસ પછી શાળાએથી બારોબાર તેની માતા તેને ઘરે લઇ ગઇ હતી. આ પછી બાળકના પિતાએ મને ફોન કર્યો હતો કે તમે મારા બાળકને મારી નાંખ્યું છે. મને 25 લાખ રૂપિયા આપો નહીંતર હું તમારી વિરૂદ્ધ ફરિયાદ કરીશ. 'આ પછી અમારી ટીમ કામે લાગી અને 50 કિલોમીટર દૂર એક ઘરમાંથી અમે બાળકને શોધી લાવ્યા. એ જગ્યાએ બાળકને તેના માતા-પિતાએ જ રાખ્યું હતું. અમે બાળકને લઇ આવ્યા અને ફરી તેના માતા-પિતાને સોંપ્યું હતું. આ પછી અમે તેમના માતા પિતાને ખખડાવ્યા હતા.' દિવ્ય ભાસ્કરઃ સમાજ સેવામાં તમારૂં આટલું મોટું નામ છે તો તમને રાજકારણનો મોહ કેમ છે?મહિપતસિંહઃ હું અત્યારે 2-4 હજાર લોકોને રાખુ છું. ગમે તેટલો મોટો થઇશ તો પણ કદાચ એક લાખ લોકોને રાખી શકીશ પરંતુ દેશમાં કરોડો લોકો છે. જો તમામનું ભલુ કરવું હશે તો સિસ્ટમમાં ઘૂસવું પડશે. 'હું વિદેશોમાં ફર્યો છું, ત્યાંના વૃદ્ઘ અને અનાથ લોકોને રહેવાની સિસ્ટમ જોઇ છે. ત્યાં કોઇ મહિપતસિંહ નથી છતાં એ વૃદ્ધો VIP સુવિધા ભોગવે છે. આ બધું રાજકારણ થકી જ શક્ય છે. તેઓ ઉમેરે છે કે એકલા મહિપતસિંહથી કંઇ નહીં થાય. પરંતુ દરેક વિસ્તારના જાગૃત યુવાનોએ તૈયાર થવું પડશે. આવી આખી ટીમ બનશે તો કંઇક થઇ શકશે. મારું મોટું સપનું એ છે કે ગુજરાતના સારા યુવાનો રાજકારણમાં આવે.' દિવ્ય ભાસ્કરઃ સમાજ સેવા ક્ષેત્રે ભવિષ્યનું કોઇ આયોજન છે?મહિપતસિંહઃ સમૂહ લગ્ન માટે અમારી પાસે 300થી વધુ દીકરીઓની ઇન્કવાયરી આવી હતી. જેમાંથી 25 દીકરીઓના લગ્ન અમે કરાવી રહ્યાં છીએ. મેં નક્કી કર્યું કે હવે ઉત્તરાયણ પછીના રવિવારથી દર અઠવાડિયે 5 દીકરીઓના લગ્ન કરાવીશ અને આ હું જીવીશ ત્યાં સુધી કરાવીશ. આનો તમામ ખર્ચ મારું ફાઉન્ડેશન ઉઠાવશે. આ ઉપરાંત દર વર્ષે મોટા સમૂહ લગ્ન પણ કરીશું. 'આગામી સમયમાં હું ગુજરાતની સૌથી મોટી લાયબ્રેરી પણ બનાવવા જઇ રહ્યો છું. આ ઉપરાંત મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત 100 બેડની હોસ્પિટલ બનાવવાનું પણ કામ શરૂ કરવાનો છું.' દિવ્ય ભાસ્કરઃ સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે તમે શું કહેશો?મહિપતસિંહઃ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં દુનિયા બદલવાની તાકાત છે. હું સોશિયલ મીડિયાથી લાખો રૂપિયા કમાઉં છું પરંતુ વીડિયો બનાવવા અને અપલોડ કર્યા સિવાય કોઇ બીજી એપ્લિકેશનનો ઉપયોગ નથી કરતો. આજનું કેટલુંક યુવાધન સોશિયલ મીડિયાના અવળા રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરી રહ્યું છે. મારી દરેકને અપીલ છે કે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ.
આવતીકાલે ગુજરાત બિગ પ્રોજેક્ટ્સના એપિસોડમાં જુઓ, લોથલમાં નિર્માણ પામી રહેલું, નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું? કેટલા સમયમાં લોકો માટે આ મ્યુઝિયમ ખુલ્લું મુકાશે? શું ખાસ છે આ નવા પ્રોજેક્ટમાં? ડ્રોન વીડિયો નિહાળવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ બિગ પ્રોજ્ક્ટ.
રાજકોટની મોરબી રોડ પરની કલ્પતરૂ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં પિન્ટુ દામજીભાઇ ડોબરિયાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હુડકો ચોકીની બાજુમાં રહેતા મનદીપ વેકરિયા અને સાયલાના ગરભાંડી ગામના જયદીપ ભરત ખવડના નામ આપ્યા હતા. પિન્ટુ ડોબરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 11 મહિના પહેલાં તેને નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે પોતાની કાર વેચવાનું તેના મિત્ર મનદીપ વેકરિયાને વાત કરી હતી, મનદીપે ગરભાંડીના જયદીપ ખવડ સાથે કારનો રૂ.12 લાખમાં સોદો નક્કી કરાવ્યો હતો. તા.26 માર્ચના જયદીપે જસદણ ખાતે નોટરી સમક્ષ લખાણ કરાવ્યું હતું અને તેમાં રૂ.3 લાખ પિન્ટુને રોકડા આપી દીધાની અને બાકીના રૂ.9 લાખ ત્રણ મહિનામાં ચૂકવી દેશે તેવું દર્શાવ્યું હતું. જસદણથી આવ્યા બાદ મનદીપે કાર માલિક પિન્ટુને રૂ.1.50 લાખ આપ્યા હતા અને બાકીના રૂ.1.50 લાખ જયદીપ થોડા દિવસોમાં આપી દેશે તેમ કહી પિન્ટુની કાર લઇને જતો રહ્યો હતો. થોડા દિવસો બાદ જયદીપે પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી સોદો કેન્સલ કરવો છે અને તને રૂ.3 લાખ આપ્યા છે અને ત્રણ મહિનાનો સોદો હતો તો રૂ.3 લાખના 3 મહિનાના 7 ટકા વ્યાજ સહિતની રકમ આપી દેજે તેમ કહ્યું હતું. પિન્ટુએ પોતાને રૂ.1.50 લાખ જ મળ્યાનું કહેતા મનદીપે બાકીના રૂ.1.50 લાખ પોતાને જરૂરિયાત હોવાથી રાખ્યાનું કહ્યું હતું. મનદીપ મિત્ર હોવાથી પિન્ટુએ તેના પર વિશ્વાસ કરી રૂ.1.50 લાખ અને બે મહિનાના 7 ટકા વ્યાજ મળી કુલ રૂ.3.42 લાખ જયદીપને આપવા માટે મનદીપને આપી દીધા હતા અને કાર લઇ આવવાનું કહ્યું હતું. ત્યારબાદ પણ મનદીપ કાર લઇ આવ્યો નહોતો અને કાર લેવા જવા માટે રૂ.10 હજાર પિન્ટુ પાસેથી ઉઘરાવ્યા હતા. જોકે ત્યારબાદ પણ કાર પરત આવી નહોતી, થોડા દિવસ બાદ જયદીપે ફોન કરી વધુ બે મહિનાના 7 ટકા વ્યાજ સાથે રૂ.3.42 લાખની ઉઘરાણી કરી હતી, પિન્ટુએ તે રકમ મનદીપને આપી દીધાનું કહ્યું હતું, પરંતુ મનદીપે તે રકમ આપી નથી તેમ કહી જયદીપે કાર પરત આપવાની ના કહી દીધી હતી, આમ મનદીપ અને જયદીપે કાર માલિક પિન્ટુ ડોબરિયાને ફસાવી તેની કાર લઇ લીધા ઉપરાંત રૂ.2.02 લાખ પણ મેળવી છેતરપિંડી આચરી હતી. પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
મનરેગા હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી યોજના તળે 125 દિવસનો રોજગારનો વાયદો કરવામાં આવ્યો છે. જોકે વર્ષ 2025માં રાજકોટ જિલ્લામાં મનરેગા યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો ન હોવાની આંકડાકીય વિગતો સામે આવી છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 1,12,159 કુટુંબના 3,01,877 સભ્ય મનરેગા હેઠળ રોજગારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સામે જિલ્લામાં 6302 પરિવારના 11,644 લોકોએ કામ મેળવવા ડિમાન્ડ કરી હતી. બીજી તરફ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ રોજગારીની ડિમાન્ડ કરનાર કુટુંબ પૈકી 5099 કુટુંબના 9061 સભ્ય માટે રોજગારીની વ્યવસ્થા કરી હતી. વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 2,19,770 દિવસની રોજગારી આપવામાં આવી હતી. તે જોતા જિલ્લામાં અત્યાર સુધીમાં મનરેગા હેઠળ સરેરાશ 61 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરી સરેરાશ પ્રતિદિનના 288 રૂપિયા લેખે રોજગારી પૂરી પાડી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જિલ્લામાં જળસંચય, પંચાયત ઘર, આંગણવાડીના કામો થયારાજકોટ જિલ્લામાં મનરેગા યોજના અન્વયે મુખ્યત્વે પંચાયતઘર નિર્માણ, આંગણવાડી નિર્માણ, તળાવ, કૂવા જેવા જળસંચયના કામો કરવામાં આવ્યા હતા. સાથે જ મનરેગા યોજના અન્વયે સીમાંત ખેડૂતો પોતાના વાડી-ખેતરમાં ઘાસચારો વાવે, ખેત તલાવડી બનાવે, વનીકરણ કરે કે બંધપાળા નિર્માણ કરે તો પણ પંચાયતના ઠરાવ સાથે આવા કામો માટે રૂ.2 લાખની મર્યાદામાં કામ મંજૂર કરવામાં આવતા હોવાનું ડીઆરડીએ કચેરીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, એવી ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી જે તમારી રોટી, કપડાં, મકાન જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી ન કરી શકે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્ત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. आचारं ग्राह्यति इति आचार्यः | અર્થાત્ જે અધ્યાપક વિદ્યાર્થીને માત્ર ભણાવતા નથી, પરંતુ તેનામાં સારા ચારિત્ર, સંસ્કારોનું સિંચન કરે છે, તે જ સાચા ‘આચાર્ય’ છે: રાજ્યપાલે સંસ્કૃત ઉક્તિથી પ્રોફેસરોને સમજાવ્યું. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર પણ ભાર અપાયો છે. શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું કે, યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપતાં મંત્રી પ્રદ્યુમ્નભાઈએ સ્વદેશી અને ‘આત્મનિર્ભર’ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 43,792 વિદ્યાર્થીને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી 186 વિદ્યાર્થીને 271 પ્રાઈઝ અપાયા હતાં. તેમજ વિદ્યાર્થિનીઓને 129 ગોલ્ડ મેડલ તથા વિદ્યાર્થીઓને 49 ગોલ્ડ મેડલ એમ 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. વ્યવસ્થા જાળવવા 10થી વધુ સમિતિ બનાવી છતાં અવ્યવસ્થા સર્જાઈસૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પદવીદાન સમારોહ માટે જુદી જુદી 10થી વધુ સમિતિ બનાવી હતી જેથી કાર્યક્રમમાં તમામ બાબતે વ્યવસ્થા જળવાઈ રહે, પરંતુ તેમ છતાં ઘણી બાબતોમાં અવ્યવસ્થા જોવા મળી હતી. એકબાજુ આ વર્ષે પદવીદાન સમારોહમાં સૌથી મહત્ત્વનું ગણાતું દીક્ષાંત પ્રવચન આપવાનું જ ભૂલાય ગયું હતું. બીજી બાજુ ભવનના અધ્યક્ષો, સિનિયર પ્રોફેસરોને પણ બેઠક વ્યવસ્થામાં અગવડ પડી હતી. ડિગ્રી આપવામાં પણ એક મહાનુભાવ પાસે ત્રણ-ચાર વિદ્યાર્થી એકઠા થઇ ગયા હતા. રાજ્યપાલ ગુરુના ગુણગાન કહી રહ્યા હતા, સામે ગુરુજનો ઊંઘી ગયા હતારાજ્યપાલ પોતાના ભાષણમાં અધ્યાપક, ગુરુ, આચાર્યના ગુણગાન કહી રહ્યા હતા. વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનું કર્તવ્ય સહિતની બાબતોનું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે જ રાજ્યપાલના ભાષણ દરમિયાન સામે સોફા અને ખુરશીમાં બેસેલા અનેક ગુરુજનો એટલે કે પ્રોફેસરો ઊંઘી ગયા હતા. ખુદ પ્રોફેસરો જ રાજ્યપાલના ભાષણ વખતે ઊંઘી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ તેઓ ટીકાને પાત્ર બન્યા હતા. દેશમાં બીમારીના વધતા પ્રમાણને ધ્યાનમાં લઇ સ્વસ્થ ભારત નિર્માણમાં સહભાગી બનીશહવે મેડિકલ ક્ષેત્રના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અભ્યાસ કરી દર્દીઓની સેવા કરવી છે. ખાસ દેશની અંદર બીમારીઓના વધતા પ્રમાણને ધ્યાનમાં લઈને સ્વસ્થ ભારતના નિર્માણમાં તમામ ડોક્ટરોને સહભાગી બનવું જોઈએ તેવી ખાસ લાગણી તેમણે વ્યક્ત કરી હતી. MBBSમાં સૌથી વધુ 7 ગોલ્ડ મેડલ અને 8 પ્રાઈઝ મળ્યા છે. > ધ્રુતિ અઘારા, ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થિની
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
કૂર્મ દ્વાદશી મહાયજ્ઞ:31 ડિસેમ્બરે 24 કલાક સુધી સંન્યાસી સહિતના લોકો સવા લાખ મંત્રોચ્ચાર કરશે
હિન્દુ પંચાંગ પ્રમાણે તા.31 ડિસેમ્બરના રોજ બુધવારના દિવસે કૂર્મ દ્વાદશી મનાવવામાં આવશે. તેથી આ તકે શહેરના ૐ શ્યામ મહાદેવ મંદિર, શ્યામ કિરણ પાર્ક, કોઠારિયા મેઇન રોડ ખાતે 24 કલાકના કૂર્મ દ્વાદશી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ભગવાન કૂર્મના પંચાક્ષરી સવા લાખ મંત્રોચ્ચારથી મહાયજ્ઞ કરાશે. ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી બીજો અવતાર જે કૂર્મ અવતાર તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સંન્યાસી સ્વામી મારુતિમાનગીરીજી મહારાજ દ્વારા આ આયોજન કરાયું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કૂર્મ અવતારને કચ્છબ અવતાર (કાચબાનો અવતાર) પણ કહેવાય છે. પોષ મહિનાની સુદ બારસના દિવસે કૂર્મ દ્વાદશી તરીકે ઓળખાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારને સમર્પિત છે. આ મહાયજ્ઞનો દર્શનનો લાભ દરેક ભક્તોને મળશે. આ ઉપરાંત નિ:શુલ્ક મહાયજ્ઞમાં બેસવા ઇચ્છુક ભક્તોએ નામ નોંધાવવું ફરજિયાત છે તેમજ મહાયજ્ઞમાં બેસવા પુરુષોએ ધોતિયું અને સ્ત્રીએ સાડી પહેરવી ફરજિયાત રહેશે. સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એક દિવસ માનવામાં આવે છેઆ કાર્યક્રમ અંગે સંન્યાસી સ્વામી મારુતિમાનગીરીજી મહારાજ જણાવતા કહ્યું હતું કે, નર્મદા કિનારે આશ્રમ છે અને રાજકોટ ટ્રસ્ટના કામથી આવ્યા હતા. જ્યારે પંચાંગ જોયું અને વિચાર્યુ કે, તા.31 ડિસેમ્બરના રોજ આવો પવિત્ર દિવસ આવતો હોય તો આ દિવસે બને એટલા વધુ યુવાઓને કે ભક્તોને ધાર્મિક રસ્તે વાળવાનું વિશેષ ધાર્મિક કાર્ય કરીએ અને મહાયજ્ઞનું આયોજન કર્યુ. હિન્દુ પંચાંગ મુજબ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એક દિવસ માનવામાં આવે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પ્રથમવાર યોજાશે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત થયેલા ઐતિહાસિક ધોળાવીરામાં આગામી 10 જાન્યુઆરીના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રથમવાર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. ધોળાવીરાની પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ, અનોખી શિલ્પકળા અને ઐતિહાસિક વૈભવ વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગો લહેરાશે ત્યારે કચ્છનું સાંસ્કૃતિક વૈભવ વૈશ્વિક મંચ પર વધુ પ્રગટ થશે. ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા રણોત્સવ, માંડવી બીચ ફેસ્ટીવલ પછી હવે ધોળાવીરાને કેન્દ્રમાં રાખી યોજાતો આ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ પ્રવાસન વિકાસની દિશામાં ‘ધોળાવીરા ફેસ્ટિવલ’નું પણ આયોજનવિશ્વ ધરોહર અને હડપ્પન સંસ્કૃતિના પ્રતીક સમાન ધોળાવીરા ખાતે આગામી 10 જાન્યુઆરીના ભવ્ય ‘ધોળાવીરા ફેસ્ટિવલ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે કાઈટ ફેસ્ટીવલ અને સાંજે ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.ધોળાવીરા ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન વારસાને સંગીત અને કલાના માધ્યમથી જીવંત કરવાનો છે. અગાઉ પણ ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા અડાલજની વાવ અને મોઢેરા સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોએ ભવ્ય સંગીત સમારોહ યોજવામાં આવ્યા છે. ધોળાવીરાની પથ્થરોની સંરચના અને હજારો વર્ષ જૂની સંસ્કૃતિના બેકગ્રાઉન્ડમાં યોજાનારો આ કાર્યક્રમ પ્રવાસીઓ અને કલાપ્રેમીઓ માટે એક અનોખો લ્હાવો બની રહેશે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીના રાજકોટ ખાતે રીઝનલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે જેમાં સંભવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ હાજરી આપવાના છે. ધોરડોમાં યોજાય છે દર વર્ષે પતંગ મહોત્સવસામાન્ય રીતે પ્રવાસન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા દર વર્ષે 10 થી 14 જાન્યુઆરીની વચ્ચે ધોરડોમાં પતંગ મહોત્સવ યોજવામાં આવે છે અને ઉત્તરાયણના દિવસે સ્થાનિક પ્રવાસીઓ મોટી સંખ્યામાં ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડવા પહોંચે છે. એક વખત ગાંધીધામમાં પણ આ મહોત્સવ ઉજવાઇ ગયો છે. આ વખતે વોચ ટાવર પાસે ક્યાંક રણ, ક્યાંક પાણી અને કેટલાક ભાગોમાં કાદવ છે. અલબત જ્યાં કાઇટ ફેસ્ટીવલ યોજાતો તે વિસ્તારમાં નમક જામી ગયું છે પણ હજી સુધી ધોરડોમાં પતંગ મહોત્સવ યોજાશે કે નહીં તે બાબતે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.
સ્વદેશી સાઇક્લોથોનનું ભવ્ય આયોજન કરાયું:સાઇક્લોથોનમાં 3000થી વધુ લોકોએ ઉત્સાહભેર લીધો ભાગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે સવારે રાજ્ય સરકારના “શહેરી વિકાસ વર્ષ–2025” અંતર્ગત ‘લોકલ ફોર વોકલ’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની ભાવનાને ઉજાગર કરવા માટે “સ્વદેશી સાઇક્લોથોન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે 3000થી વધુ નગરજનો અને સાઇક્લિસ્ટોની ઉત્સાહભરી હાજરીએ કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું. સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતી આ સાઇક્લોથોને રાજકોટને ફિટ, ગ્રીન અને આત્મનિર્ભર શહેર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. રવિવારે સ્વદેશી રનનો કાર્યક્રમ યોજાશે. લકી ડ્રોમાં વિજેતા થનાર નવાબ, ભક્તિબેન, વિરાજ જોબનપુત્રા, કૃણાલ મરવાણિયા અને આરદેશના કુલદીપને સાઇકલની ભેટ આપવામાં આવી હતી.
SIR માટે છેલ્લી તક:અનમેપ મતદારો મતદાન મથકે શનિ-રવિ પુરાવા રજૂ કરી શકશે
રાજકોટ સહિત રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ખાસ સઘન સુધારણા સંપન્ન થયા બાદ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જોકે, SIR બાદ હજુ પણ જિલ્લામાં 2.25 લાખ જેટલા મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શકયા ન હોવાથી તેમના નામ અનમેપ કેટેગરીમાં છે ત્યારે ચૂંટણી પંચની સૂચના અન્વયે આવા મતદારોને વધુ એક તક આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 27 અને 28 ડિસેમ્બર અને 3 અને 4 જાન્યુઆરી એટલે કે આગામી બન્ને શનિવાર અને રવિવારના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી પોતે જે મતદાન મથકે મતદાર કરતા હોય ત્યાં જ બીએલઓ સમક્ષ પોતાના ઓળખ અંગેના પુરાવા રજૂ કરી શકશે. તેમ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી પંચે જણાવ્યું હતું. નવા મતદારોની નોંધણી પણ થશેઅનમેપ મતદારો માટે યોજાનાર મેગા કલેક્શન કેમ્પ અંતર્ગત નવા મતદાર નોંધણી પણ કરી શકાશે. મતદારયાદીમાં નામ ઉમેરવા માટે માટે 01-01-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તે નામ ઉમેરાવી શકશે. તેમજ નામ કમી, સરનામું બદલવા તથા વિદેશમાં વસતા ભારતીય મતદારો માટે ફોર્મ 6A ભરી ફેરફાર કરાવી શકાશે. વધુ માહિતી માટે મતદારો હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરી શકશે.
વિરાણી હાઈસ્કૂલ વિવાદમાં ઘેરાઈ:સ્કૂલનું 150 કરોડનું મેદાન 51.51 કરોડમાં વેચવા કાઢ્યાની શંકા
રાજકોટ શહેરની મધ્યમાં ટાગોર રોડ પર આવેલ વિવિધલક્ષી વિરાણી હાઈસ્કૂલ છેલ્લા વર્ષોમાં વિવાદમાં ઘેરાઈ છે, જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ શાળાના મેદાનમાં વાણિજ્ય પ્રવૃત્તિ ઉપરાંત જમીનના સત્તાપ્રકારને લઈ હાલમાં હાઇકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કુલ રૂ.1000 કરોડની કિંમતની ગણાતી વિરાણી હાઈસ્કૂલ સંકુલનું રૂ.150 કરોડથી વધુ કિંમતનું મેદાન રૂ.51.51 કરોડમાં વેચી નાખવાની હિલચાલ થતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાન દ્વારા આગામી તા.27ને શનિવારે શહેરની રાષ્ટ્રીય શાળા ખાતેથી વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો આંદોલન સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં વિરાણી હાઈસ્કૂલમાં ભણીને રાજકોટ ઉપરાંત દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઓનલાઇન તેમજ ફિઝિકલ હાજરી વચ્ચે એક તાંતણે બાંધી લડતનું રણશિંગું ફૂંકવામાં આવશે. રાજકોટની શૈક્ષણિક વિરાસત સમાન વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા શહેરની મધ્યમાં આવેલ સોનાની લગડી જેવી જમીન વેચાણ કરવાની હિલચાલ શરૂ કરતાં શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરિયા દ્વારા વર્ષ 2019થી ન્યાયિક લડત ચલાવવામાં આવી રહી છે જેમાં આગામી તા.27ને શનિવારે શહેરની રાષ્ટ્રીય શાળા ખાતે સાંજે 5 વાગ્યે વિરાણી મેદાન બચાવો સમિતિના નેજા હેઠળ મહાસંમેલનનું આયોજન કર્યું છે. જેમાં દેશ-વિદેશમાં વસતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઓનલાઇન તેમજ ફિઝિકલ હાજરી વચ્ચે એક તાંતણે બાંધી કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં લડત આપવા રણનીતિ ઘડવામાં આવશે. પુરુષોત્તમ પીપરિયાએ ઉમેર્યું હતું કે, હાલમાં વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની 41529 ચોરસમીટર જમીન છે જેની અંદાજિત બજાર કિંમત રૂ.1000 કરોડ ગણાય છે.આ જમીન પૈકી 5733 ચોરસમીટર જમીન કે જેની કિંમત 150 કરોડ ગણાય છે તે જમીન ટ્રસ્ટીઓ દ્વારા રૂ.51.51 કરોડમાં વેચવા કાઢેલ છે અને આ મસમોટાં કૌભાંડ પાછળ ટ્રસ્ટના પ્રમુખ જયંત દેસાઈ અને સભ્ય શ્રેયાંસ વિરાણી મુખ્ય હોવાનો આરોપ લગાવી કડક તપાસની માગણી કરવામાં આવી છે. વર્ષ 1946માં નખાયો હતો વિરાણી હાઇસ્કૂલનો પાયોવિરાણી હાઈસ્કૂલ બચાવો સમિતિના પુરુષોત્તમ પીપરિયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કૂલનો પાયો વર્ષ 1946માં નખાયો હતો. સ્વતંત્રતા સેનાની સ્વ.દરબાર ગોપાલદાસ દેસાઈ સંસ્થાના આદ્યસ્થાપક હતા અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના પ્રમુખપણા હેઠળ ટ્રસ્ટને માર્ગદર્શન મળતા જાણીતા શેઠ દુર્લભજી શામજી વિરાણીએ વિદ્યાતીર્થને વિકસાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિ ઉમાકાંતભાઈ પંડિત, નગીનદાસ વિરાણી, ગિરજાશંકર શેઠ, અમૃતલાલ વીરચંદ જસાણી, કેશવલાલ પારેખ, દિનકરરાય જોશી અને ડોલરરાય માંકડ સહિતના નગરશ્રેષ્ઠીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સાથે જ કેન્દ્રના ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી મનુભાઈ શાહે સંસ્થાને માતબર ગ્રાન્ટ આપી હોવાનું તેમજ તત્કાલીન નાયબ વડાપ્રધાન ગોવિંદ વલ્લભ પંતના હસ્તે ભવ્ય બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું 83 ટકા ગ્રાન્ટ મેળવતી વિરાણી હાઈસ્કૂલ મામલે ઇડી તપાસની માંગવિરાણી હાઈસ્કૂલ બચાવ સમિતિના જણાવ્યા મુજબ શાળાને કેન્દ્ર-રાજ્યની 83 ટકા જેટલી માતબર ગ્રાન્ટ ઈન એઇડ મળેલી છે ત્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીએ સરકારને અગાઉ લેખિત બોન્ડ આપેલ છે કે, ગ્રાન્ટવાળી મિલકત વેચતા કે ગીરો મુક્ત પહેલા સરકારની મંજૂરી અનિવાર્ય છે. તેમ છતાં સરકારની કે ચેરિટી કમિશનરની મંજૂરી વગર મિલકત વેચવાની પ્રક્રિયા હાથ ધરી ગંભીર પ્રકારની ગેરરીતિ કરવામાં આવતા આ મામલે સમિતિએ ડિસ્કવરી ઓર્ડરની માંગ કરી સંસ્થાને બચાવવા ન્યાયિક લડત ચલાવતા વેચાણ પ્રક્રિયા સ્થગિત થઇ હોવાના સંકેત મળી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં ઇડી દ્વારા તપાસ કરવા માગણી કરી છે. વિરાણી હાઈસ્કૂલનું પબ્લિક ટ્રસ્ટ ફેમિલી ટ્રસ્ટમાં ફેરવાઈ ગયું : પીપરિયાનો આક્ષેપવિરાણી હાઈસ્કૂલ બચાવ સમિતિના પુરુષોત્તમ પીપરિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલના પબ્લિક ટ્રસ્ટને આડકતરી રીતે ફેમિલી ટ્રસ્ટમાં ફેરવી દેવાયું છે. ટ્રસ્ટમાં કુલ 10 ટ્રસ્ટી હોવા જોઈએ તેના બદલે લાંબા સમયથી ઇરાદાપૂર્વક માત્ર 7 ટ્રસ્ટીથી મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં ટ્રસ્ટમાં મંત્રી તરીકે શ્રેયાંસ શાહ અને બાકીના પાંચ સભ્ય તેમના પરિવારના છે જેમાં રમેશભાઈ (પિતા), રાજેશ્રીબેન (માતા), ઉર્વીબેન (પત્ની) અને હર્ષાબેન (સાસુ) સમાવેશ છે. સાથે જ જયંતભાઈ દેસાઈ (શ્રેયાંસભાઈના શુભેચ્છક) તેમજ કિશોરભાઈ ત્રિવેદી (આર્કિટેક્ટ) કે જેઓ સિમ્બોલિક સેવા આપતા હોવાનું જણાવાયું હતું. સાથે જ તાજેતરમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર બાદ શ્રેયાંસ વિરાણી હજુ ટ્રસ્ટી તરીકે યથાવત્ હોવાનું અને ટ્રસ્ટનું સંચાલન મની લેન્ડર્સ લેન્ડ લોર્ડ્સના હાથમાં ગયું હોવાનો આરોપ લગાવાયો છે.
ભાસ્કર ફોલોઅપ:જામનગર જેટકોમાં 35 એપ્રેન્ટિસની ભરતી કૌભાંડ બાદ ગોંડલ-કચ્છ શંકાના દાયરામાં
જામનગર જેટકોમાં 35 એપ્રેન્ટિસની ભરતીમાં 2-2 લાખ લઈને આચરવામાં આવેલું કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે આ કૌભાંડના તાર સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય ઝોન સુધી લંબાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને ગોંડલ અને કચ્છ ડિવિઝનમાં થયેલી તાજેતરની ભરતીઓ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે, જેના પગલે ઉચ્ચ અધિકારીઓએ અંદરખાને તપાસનો ધમધમાટ તેજકર્યો છે. જામનગરમાં જે રીતે સિનિયર આસિસ્ટન્ટે લાયક ઉમેદવારોને બાકાત રાખીને 2-2 લાખ રૂપિયાના જોરે માનીતાઓને ગોઠવી દીધા, તેવી જ પેટર્ન ગોંડલ અને કચ્છ જેટકોમાં પણ અપનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં પણ એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતાના ધજાગરા ઉડાવીને માત્ર ‘ચોક્કસ’ નામો પર જ મહોર મારવામાં આવી છે. જામનગરના કૌભાંડમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, આ એક ગુનાહિત કૃત્ય હોવા છતાં જવાબદારો સામે ફોજદારી ફરિયાદ કે એસીબી (ACB)ની કાર્યવાહી કરવાને બદલે મામલો થાળે પાડવાના પ્રયાસો થયા હતા, પરંતુ હવે જ્યારે આખા સૌરાષ્ટ્રમાં આ નેટવર્ક ફેલાયેલું હોવાની સંભાવના પ્રબળ બની છે ત્યારે જેટકોના ઉચ્ચ અધિકારીઓ પર ભીંસ વધી છે. કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં મોનિટરિંગ ઓછું હોય છે, ત્યાં ભરતીમાં ગોટાળો હોવાની આશંકાએ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં જેટકોના ઉચ્ચ સ્તરેથી આડકતરી રીતે ગોંડલ અને કચ્છના ભરતીના રેકોર્ડ્સ મગાવવાની તજવીજ હાથ ધરાઈ છે. જો તટસ્થ તપાસ થાય તો અનેક ‘મોટાં માથાંઓ’ અને HR વિભાગના મહારથીઓના નામ બહાર આવે તેમ છે.
દેશમાં ડુપ્લિકેટ દવાઓનો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને ગત જુલાઇમાં રાજકોટમાંથી પણ મોટા પાયે ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો હતો આથી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડુપ્લિકેટ દવાઓનો વેપાર અટકાવવા વેપારીઓએ હવે રાજકોટ બહારથી માલની ખરીદી કરવી નહીં અને રાજકોટમાં દવા કંપનીના ઓથોરાઇઝડ ચેનલ ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી જ માલ ખરીદવો ફરજિયાત કરવાનો નિર્ણય અમલી કરાયો છે. કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેશ દેસાઇએ જણાવ્યું હતું કે, WHOએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં ઓછામાં ઓછી 20થી 25 ટકા ડુપ્લિકેટ દવાઓ વેચાઇ છે. રાજકોટની દવા બજારમાં પણ ડુપ્લિકેટ દવાઓનો વધતો કારોબારને ધ્યાનમાં રાખી રાજકોટની બહારથી માલની ખરીદી નહીં કરવા અને રાજકોટમાં કંપનીએ નિમેલા સ્ટોકિસ્ટ પાસેથી જ રિટેલર અને સેમી હોલસેલરે માલની ખરીદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ અમુક સ્ટોરમાં 20-20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હકીકતમાં લાઇફ સેવિંગ ડ્રગ્સમાં 16 ટકા જ માર્જિન છે તો 20 ટકા ડિસ્કાઉન્ટ આપવું કેવી રીતે પોષાય તે પણ તપાસનો વિષય છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ આપવા માટે વેપારીઓ બહારથી દવા લાવે છે અને તેમાં ડુપ્લિકેટ દવાઓનો વેપલો વધ્યો છે. આથી હવે ખોટી દવા વેચાતી અટકાવવા આ નિર્ણય કરાયો છે. ડુપ્લિકેટ દવા સાથે પણ વેપારી પકડાશે તો લાઇસન્સ રદ કરવા કાર્યવાહી થશેરાજકોટમાં થોડા સમય પહેલાં ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયા બાદ કેમિસ્ટ એસોસિએશને જનજાગૃતિ કેળવવા કમિટીની રચના કરી છે અને હવે જો કોઇ મેમ્બર ગેરરીતિ કરી બહારથી દવા લાવતો હશે, ડુપ્લિકેટ દવાના જથ્થા સાથે પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરવા કાર્યવાહી કરાશે. ડુપ્લિકેટ દવાઓ કેટલા દર્દીઓએ ખાધી તેની વિગતો સરકારે જાહેર ન કરીગત જુલાઇમાં સાયમોટલ ફોર્ટ નામની ડુપ્લિકેટ દવાનો જથ્થો રાજકોટમાંથી પકડાયો હતો, પરંતુ આ દવા ક્યાંથી આવી, કેટલા દર્દીઓએ આ દવાનો જથ્થો ખાધો, દર્દીઓને થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? સહિતની વિગતો પાંચ મહિના બાદ પણ સરકારે જાહેર કરી નથી. તેમજ કોઇ જવાબદાર સામે હજુસુધી પગલાં લેવાયા નથી. રિપોર્ટ જાહેર કરાયો નથી. જે દર્દીઓએ દવા ખાધી તેમને કોઇ આડઅસર થઇ છે કે નહીં તેના રિપોર્ટ કરાવી સરકારે તેની સારવાર કરાવી જોઇએ તેના બદલે સરકાર દવા પકડાયા બાદ તેની આગળની કોઇ તપાસની વિગત જાહેર કરતી નથી અથવા તો તપાસ આગળ ધપતી નથી.
ફૂગના પ્રકોપથી ખેડૂતો ત્રસ્ત:પાવરપટ્ટી પંથકમાં વિષમ આબોહવાએ દાડમની ખેતીનો દમ કાઢ્યો
કચ્છના રુદ્રમાતા જાગીરથી લઈને થાન જાગીર સુધીના વિશાળ ‘પાવરપટ્ટી’ પંથકમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ વધતા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાક તરફ વળ્યા હતા. ખાસ કરીને સુમરાસર (શેખ), હરીપુરા, ઝુરા, અમરગઢ, બિબર અને નિરોણા જેવા ગામોના મહેનતકશ ખેડૂતોએ મોટા પાયે દાડમનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારા વળતર બાદ હવે આ પાક પર કુદરતની નજર લાગી હોય તેમ વિષમ આબોહવાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લા દોઢ-બે વર્ષથી દાડમના પાકમાં રોગચાળો વધતા અનેક ખેડૂતોએ કંટાળીને બગીચાઓ ઉખેડી નાખ્યા છે. આ વર્ષે સતત ભેજવાળા વાતાવરણને કારણે ફૂગજન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. બાગાયત ખેડૂત ખેતશીભાઈ આહીરે જણાવ્યું હતું કે, “સવારના ભાગે સતત ભેજ રહેવાથી ફૂગ કાબૂમાં આવતી નથી. અઠવાડિયામાં બે-બે વાર મોંઘીદાટ ફંગિસાઈડ દવાઓનો છંટકાવ કરવા છતાં તેની અસર માત્ર થોડો સમય જ રહે છે. ફળોમાં કાળા ટપકા, ‘તડ’ પડવાની સમસ્યાફૂગના કારણે દાડમના ફળ પર કાળા ટપકા પડી રહ્યા છે. વધુમાં, ઠંડીના પ્રકોપને કારણે આ ફળો ફાટી રહ્યા છે. આવા ડાઘાવાળા અને ફાટેલા દાડમ બજારમાં કોઈ ખરીદવા તૈયાર નથી, જેના કારણે ખેડૂતોને તૈયાર પાક ફેંકી દેવાની નોબત આવી છે. ખર્ચ માથે પડવાની દહેશતખેતી પાછળ થયેલો લાખોનો ખર્ચ અને દવાનો ખર્ચ પણ નીકળે તેમ ન હોવાથી પાવરપટ્ટીના ખેડૂતોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. આબોહવા પરિવર્તનની સીધી અસર હવે કચ્છના આ બાગાયતી હબ ગણાતા પંથકના અર્થતંત્ર પર પડી રહી છે.
રાજકોટમાં જીએસટી ચોરીનું મહાકૌભાંડ:રૂપિયા 300 કરોડના બોગસ બિલિંગનો ભાંડો ફૂટ્યો, 3ની ધરપકડ
રાજકોટમાં કેન્દ્રીય GST વિભાગ (CGST) દ્વારા મોટા પાયે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રૂ.300 કરોડથી વધુના બોગસ ઇન્વોઇસ બનાવી સરકારને રૂ.54 કરોડથી વધુની GST ચોરીનો ભારે ફટકો મારનાર ત્રણ શખ્સને CGSTની ટીમે ઝડપી લીધા છે. આ કૌભાંડ ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ તેમજ મોરબી રોડ પર આવેલી મા એન્ટરપ્રાઇઝના નામે પેઢીઓ ખોલી આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. આ કૌભાંડમાં હજુ વધુ 15થી 20 જેટલી કંપનીઓ અને પેઢીઓની સંડોવણી ખૂલવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં વધુ કૌભાંડીઓની ધરપકડ થશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. સીજીએસટીના પ્રિવેન્ટિવ વિભાગના સૂત્રોએ માહિતી આપી જણાવ્યું હતું કે, રાજકોટની બે પેઢી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)નો લાભ લેવા માટે બોગસ બિલિંગ કૌભાંડ આચરતી હોવાની હકીકત ડેટા એનાલિસિસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. આથી આ બાબતે તપાસ કરતાં ભગવતીપરામાં રહેતો અજય લીખિયા, મોરબી રોડ પર રહેતો વિશાલ મુલિયા ઉર્ફે સાગર અને જીલ અમલાણી આ કૌભાંડ આચરતા હોવાનું ખૂલતા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કૌભાંડીઓ સાથે મળીને સિમેન્ટ અને લોખંડના નામે મોટા પ્રમાણમાં ફેક ઇન્વૉઇસ તૈયાર કરતા હતા અને આ ઇન્વૉઇસના આધારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરી સરકારને રૂ.54 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. વિશેષ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, આ પેઢીઓ દ્વારા હકીકતમાં કોઈ માલની ખરીદ-વેચાણ કરવામાં આવી ન હતી, માત્ર કાગળ પર વ્યવહારો દર્શાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ દ્વારા અનેક કંપનીઓ અને એજન્સીઓને ખોટો ટેક્સ લાભ અપાવવામાં આવ્યો હોવાની CGSTને મજબૂત શંકા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ CGST વિભાગે ગત સોમવારથી આ મામલે તપાસ શરૂ કરી હતી. વિવિધ દસ્તાવેજો, બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ડેટા અને ડિજિટલ રેકોર્ડના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. હજુ 15થી 20 જેટલી અન્ય કંપનીઓ અને એજન્સીઓ આ કૌભાંડ સાથે સંકળાયેલી હોવાની શક્યતા છે. અજય મહાદેવ એન્ટરપ્રાઇઝનો અને વિશાલ મા એન્ટરપ્રાઇઝનો પ્રોપરાઇટરપ્રિવેન્ટિવ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાદેવ એન્ટરપ્રાઇઝનો પ્રોપરાઇટર અજય લીખિયા છે અને મા એન્ટરપ્રાઇઝનો પ્રોપરાઇટર વિશાલ મુલિયા છે. આ બન્ને શખ્સે જીલ અમલાણીની મદદથી તેમના ઘર પર જ જીએસટી નંબર લઇ કૌભાંડ આચર્યું હોવાથી ત્રણેયની ધરપકડ કરાઇ છે. મહારાષ્ટ્રમાં બે ગાડી મોકલ્યાની ફેક ઇન્વોઇસ પરથી કારસ્તાન ખુલ્યુંસૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કૌભાંડીઓએ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો તથા જિલ્લાઓમાં મોટા પાયે બોગસ બિલિંગ કરી માલ મોકલ્યા વગર આઇટીસીનો લાભ લેવાનું કારસ્તાન આચર્યું હતું. જેમાં મહારાષ્ટ્રમાં બે ગાડી મોકલવાના ફેક ઇન્વોઇસના આધારે આખું કૌભાંડ પકડાઇ ગયું હતું. ભાસ્કર એક્સપર્ટસરકારે પોર્ટલ પર સતત મોનિટરિંગ રાખવું જોઇએજીએસટી ચોરીના મસમોટા કૌભાંડો અટકાવવા સરકારે ખાસ તો પોર્ટલ પર નજર રાખવી જોઇએ. જો કોઇ રનિંગ વેપારીના ટર્નઓવરમાં એકાએક અસાધારણ વધારો જોવા મળે અથવા તો કોઇ નવો વેપારી સીધું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરવા માંડે તો પોર્ટલ પરની સિસ્ટમ એલર્ટ આપે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ કૌભાંડોને કારણે ચીટરો લાભ લઇને ભાગી જાય છે અને પકડાય તો પણ હાથ ઉંચા કરી દે છે. જ્યારે સાચો વેપારી દંડાય છે અને તેને પેનલ્ટી સાથે જીએસટીની રકમ ભરવી પડે છે. - ભરત રામાણી, પ્રમુખ, જીએસટી બાર એસો.
રણ અને વારસાનો સંગમ:ઐતિહાસિક લખપત કિલ્લા પર પ્રવાસીઓનું ઘોડાપૂર
કચ્છ જિલ્લાના પશ્ચિમ છેવાડે આવેલું ઐતિહાસિક નગર લખપત હાલ પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. શુક્રવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ લખપત ઉમટી પડ્યા હતા, જેના કારણે શાંત રહેતા આ સરહદી વિસ્તારમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી. અહીં આવેલા પ્રવાસીઓએ ગગનચુંબી અને મજબૂત લખપત કિલ્લા પર ચડીને સામે પાર દેખાતા સફેદ અફાટ રણ અને દરિયાઈ ખાડીના સંગમનો નજારો માણ્યો હતો. કિલ્લાની વિશાળ દીવાલો અને તેની પાછળ પથરાયેલા કુદરતી સૌંદર્યએ સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રવાસીઓએ કિલ્લાના દર્શન બાદ રણ વિસ્તારમાં જઈને ફોટા પાડવા અને રણની ભીની માટીમાં ફરવાની મોજ માણી હતી. આધુનિક જમાનાની માંગ મુજબ, પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થાપત્ય અને રણના નજારાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. કિલ્લાના વિવિધ પોઈન્ટ્સ પર સેલ્ફી લેવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કચ્છના આ છેવાડાના સ્થળે પર્યટનનો વ્યાપ વધતા સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને શિયાળાની ગુલાબી ઠંડી અને રણનો માહોલ માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે.
લોન કૌભાંડનો પર્દાફાશ:બેન્ક લોન અને વાહન ટ્રાન્સફરના નામે ઠગાઈ કરતો દુર્ગાપુરનો શખ્સ પકડાયો
માંડવી વિસ્તારમાં લોકોના નામે 16 ટુ-વ્હીલર છોડાવી કુલ રૂપિયા 8.09 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદાને શંકાસ્પદ વાહન સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીએ અનેક નિર્દોષ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે વાહનો છોડાવી ફાઈનાન્સ કંપની અને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.આરોપીએ જુદી-જુદી કંપનીના કુલ 16 જેટલા ટુ-વ્હીલર વાહનોની ખરીદી કરી હતી. આરોપીએ શરૂઆતમાં વાહનોનું ડાઉન પેમેન્ટ ભરી લોન લીધી હતી, પરંતુ ત્યારબાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને વાહન અન્ય લોકોને વહેચી દઈ તેમના નામે ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ માંડવી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી પાસેથી ૧૬ ટુ-વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
સ્મૃતિવન ખાતે સાંજે કચ્છ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ:કચ્છી વ્યાકરણ, શબ્દકોશ સહિતની પૂર્ણ કક્ષાની ભાષા
ગુજરાત સાહિત્ય અકાદમી તથા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કચ્છ સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ઉત્સવમાં કચ્છ સહિત રાજ્યભરના સાહિત્યકારો, લેખકો અને સાહિત્યપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉત્સવનું ઉદ્ઘાટન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ ઝા, પદ્મશ્રી નારાયણ જોશી, કચ્છ યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર મોહન પટેલ, રાજ પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા તેમજ ડોક્ટર કાશ્મીરાબેન મહેતાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર ભાગ્યેશ ઝા એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ પ્રથમ કચ્છ કાર્નિવલ અને રણોત્સવથી કચ્છ સાથે જોડાયેલા છે અને કચ્છી કલાકારો, સર્જકો તથા સાહિત્યકારોનો પ્રેમ તેમને વારંવાર કચ્છ ખેંચી લાવે છે. કવિ નારાયણ જોશીએ કચ્છી ભાષામાં વક્તવ્ય આપતાં જણાવ્યું કે કચ્છી સંપૂર્ણ વ્યાકરણ અને શબ્દકોશ ધરાવતી સમૃદ્ધ ભાષા છે. કચ્છી સર્જકોના સન્માન માટે સાહિત્ય એકેડેમી અને વિવિધ સંસ્થાઓના સહયોગને તેમણે આવકાર્યો.સાંજે હીરા ખજૂર એન્ડ ગ્રુપ દ્વારા મોરચંગ જા સૂર કાર્યક્રમમાં જમાવટ કરી હતી. પાંચ દિવસીય કચ્છ ઉત્સવ દરમિયાન કવિ સંમેલન, ચર્ચાસત્રો, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર કાર્યક્રમ સાહિત્ય, સંસ્કૃતિ અને વિચાર વિમર્શ માટે મહત્વપૂર્ણ છે. પ્રભાતફેરી દ્વારા આપણી વિસરાતી જતી પરંપરાને પુનર્જીવિત કરાઈગુરુવારે પરોઢે ભુજની ઐતિહાસિક શેરીઓ પ્રભાતિયાથી ગુંજી ઊઠી હતી. ‘’વિરાસત ભી, વિકસિત ભી’’ને સાકાર કરતા આપણા પ્રભાતિયાએ આપણો અમૂલ્ય વારસો છે. આ પ્રભાત ગીતો આપણી પરંપરાનો પ્રસાદ છે. કચ્છ સાહિત્ય ઉત્સવ નિમિત્તે હમીરસર તળાવથી વંદે માતરમ્ પાર્ક ભુજ ખાતે પ્રભાત ફેરીમાં યુવા પેઢીએ સુમધુર પ્રભાતિયા ગાયા. પ્રો. ડૉ. કાશ્મીરા મહેતા, પ્રા. હેતલબહેન સહિત ભુજના નાગરિકોએ મોટી સંખ્યામાં પ્રભાતી પરંપરાને ઉજાગર કરી હતી. કચ્છી સાહિત્ય ક્ષેત્રે પારિતોષિક આપીને સન્માનકચ્છી ભાષામાં સર્જનના સાહિત્ય વિભાગોમાં પારિતોષિકો એનાયત કરાયા. ટૂંકી વાર્તામાં હસમુખ અબોટીએ પ્રથમ, ‘રતે તળાજી પાળ તા’ માટે નેણસી ભાનુશાલી દ્વિતીય અને ‘સુખડી’માટે છાયા શાહ તૃતીય રહ્યા. કચ્છી કવિતા સીજયા કણ કુની મેં માટે પબુ ગઢવી, સાઈયુ માટે જયેશ ભાનુશાલી અને રૂબરૂ માટે ડો. કાશ્મીરા મહેતાને સન્માનિત કરાયા. જીવનચરિત્ર–આત્મકથા કેટેગરીમાં મીઠે મુલકજી બાયું માટે ડો. પૂર્વી ગોસ્વામી અને અનુવાદમાં ત્રિપથ ગા માટે ડો. કાંતિ ગોરને અને ટેપાલ માટે કૃપા નાકરને પારિતોષિક અપાયા.
સુરત વિગન ગ્રુપ દ્વારા વેસુ ખાતે આવેલા હર્બશિર કેફે ખાતે વિગન મીટનું આયોજન કરાયું હતું. જેમાં છેલ્લા 53 વર્ષથી વિગન ફૂડ સાથે જીવતા અને સ્વિત્ઝરલેન્ડથી આવેલા એન્ડ્રો હેમ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે આજે મોટાભાગના લોકો સ્વાસ્થ્ય માટે બહાના શોધે છે, ત્યાં હું અત્યારે 60 વર્ષનો છું અને છેલ્લા 13 વર્ષથી દરરોજ 80થી 90 કિલોમીટર સાયક્લિંગ કરી વિગનનો મેસેજ આપી રહ્યો છું. આ માત્ર એક કસરત નથી, પરંતુ મારા જીવનની એક વિચારધારા બની ગઇ છે. સાયકલ પર અત્યાર સુધી મેં 40 દેશોની સફર કરી છે અને ત્યાં વિગનનો સંદેશ આપ્યો છે. એન્ડ્રો હેમ માત્ર એક સાયક્લિસ્ટ નથી, પરંતુ તેઓ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સાચા પ્રેમના પ્રખર સમર્થક પણ છે. મારં સ્પષ્ટપણે માનવું છે કે “આજે લોકો કહે છે કે તેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે, તેમને બચાવે છે, તેમ છતાં તેઓ વિગન બનતા નથી. જો ખરેખર દિલથી પ્રાણીઓને પ્રેમ કરવો હોય તો માત્ર દેખાવ નહીં, વિગન બનો. મારી ઉર્જા, તંદુરસ્તી અને લાંબી સાયક્લિંગનું મુખ્ય કારણ મારું વિગન ડાયેટ જ છે. સંપૂર્ણ વિગન જીવનશૈલી અપનાવવાથી શરીર વધુ હળવું, સક્રિય અને સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય માટે જાગૃત બનો, પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખી વિગન બનો40 દેશોમાં સાયકલ ચલાવીને એન્ડ્રો હેમે સાબિત કર્યું છે કે ઉંમર ક્યારેય પણ અવરોધ બનતી નથી. સાચી વિચારધારા, યોગ્ય ખોરાક અને દ્રઢ સંકલ્પ હોય તો માનવી અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. હું યુવાનોને સંદેશ આપવા માંગું છું કે સ્વાસ્થ્ય માટે જાગૃત બનો, પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ રાખો અને વિગન જીવનશૈલીને અપનાવો. મારી ડાયટની મુખ્ય વસ્તુઓ
ભાસ્કર ઈનસાઈડ:ઠગબાજોએ રાજસ્થાનના વેપારી પાસેથી સસ્તા સોનાના નામે 28 લાખ પડાવ્યા
શહેરના ચીટરો દેશના દરેક ખુણામાં વસતા લોકો પાસેથી સસ્તા સોનાના નામે રૂપિયા પડાવી ચુક્યા છે તેવામાં હવે રાજસ્થાનમાં માવાનો વેપાર કરનારને ફેસબુક પર સંપર્ક કર્યા બાદ ભુજ બોલાવી 15 ટકા ઓછા ભાવે સોનુ આપવાનું વાતચીત કરી વિશ્વાસમાં લીધા બાદ 28 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.રાજસ્થાન બ્યાવરના ફરિયાદી નિત્યાનંદ સુભાષચંદ્ર ઉપાધ્યાયે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી રીયાઝ શેખ ઉર્ફે હુશેન ભાભા ત્રાયા, ભાવેશ સોની ઉર્ફે સલમાન ગુલામશા સૈયદ અને અંકુર જોષી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના મોબાઈલમાં સોના-ચાંદી સબંધિત માહિતી જોતા હતા ત્યારે ફેસબુક પર એક પેજ જોવા મળ્યો હતો જેમાં બજાર ભાવ કરતા 10 થી 15 ટકા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી. જેથી ફરિયાદીએ મેસેજ મારફતે વાતચીત શરુ કરી હતી. ત્યારે આરોપીએ પોતે ગાંધીધામના હોવાનું અને દુબઈથી સોનાના બિસ્કીટ મંગાવી વેચતા હોવાનું કહ્યું હતું. એક વર્ષ સુધી વાતચીત કર્યા બાદ ફરિયાદી અમદાવાદ આવ્યા ત્યારે આરોપીએ ભુજ બોલાવ્યા હતા. જેથી ફરિયાદી પોતાની પત્ની સાથે ભુજ આવ્યા હતા ત્યારે આરોપીએ ત્રી-મંદિર નજીક બોલાવી પોતાની કારમાં બેસાડ્યા હતા અને ત્યાર બાદ એરપોર્ટ રોડ પર આવેલ એક ફાર્મ પર લઇ ગયા હતા. જ્યાં હાજર અન્ય આરોપીએ સોનાના ત્રણ બિસ્કીટ બતાવ્યા હતા અને રૂપિયા 54 લાખમાં 1 કિલો સોનુ આપવાની વાત કરી હતી. ફરિયાદીએ વધારે રૂપિયા નહોવાનું કહેતા આરોપીએ અડધા રૂપિયા આપવાનું કહી સોનુ મળ્યા બાદ બીજા આપવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ પોતાના બનેવી સાથે વાત કરી અને રૂપિયા 28 લાખ રાજસ્થાનમાં હાજર આરોપી ફરિયાદીના બનેવી પાસેથી લઇ ગયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાનો માણસ ફરિયાદીના ઘરે સોનુ આપી જાશે અને બીજા રૂપિયા લઇ જાશે તેવું કહ્યું હતું અને વાયદાઓ કરી રૂપિયા કે સોનુ ફરિયાદીને ન આપી ઠગાઈ આચરી હતી. એલસીબીના ચોપડે આરોપીઓ ઓળખાયાઅવાર નવાર સોનુ આપવાની વાતચીત બાદ પણ આરોપીએ ફરિયાદીને માલ પહોચાડ્યો ન હતો. જેથી ફરિયાદી આ બાબતે તપાસ કરવા ભુજ આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, અહીંના ચીટરો વેપારીઓને શીશામાં ઉતારી રૂપિયા પડાવતા હોય છે. જેથી ફરીયાદી એલસીબી કચેરી ગયા હતા ત્યારે પોલીસે ચીટરોના ફોટા બતાવ્યા હતા અને ખોટું નામ ધારણ કરનાર આરોપીઓની ઓળખ થઇ હતી.સોશિયલ મીડિયાની જાહેરાતથી લાલચમાં આવવું નહીંછેલ્લા કેટલાક સમયથી સસ્તા સોનાના નામે ઠગાઈ થતી હોવાના બનાવો વધ્યા છે. જેથી પોલીસ દ્વારા પર સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત કરી જાળ બીછાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ વારંવાર અપીલ પણ કરવામાં આવે છે કે, સોશિયલ મીડીયાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહીતના માંડ્યામો પર આવતી લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ સંજોગોમાં સામવાળાને રૂપિયા ન મોકલવા માટેની સૂચનાઓ આપી લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.મુખ્ય આરોપીને પકડી રોકડા 28 લાખ રિકવરઆ બનાવમાં ભુજ એલસીબી દ્વારા મુખ્ય આરોપી હુશેન ઉર્ફે ભાભા ત્રાયાને પકડી તેની અટકાયત કરવામાં આવી છે તેમજ આરોપી પાસેથી ઠગાઈની પૂરેપૂરી રકમ 28 લાખ કબ્જે કરવામાં આવી છે અન્ય આરોપી ભાવેશ સોની જેનું સાચુ નામ સલમાન ગુલામશા સૈયદ અને અંકુર જોષીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સુરત • અડાજણમાં આવેલી અલફેસાની સ્કુલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે એગ્રોકાસ્ટના હાઇડ્રોલોજીસ્ટ એજાઝ પઠાણ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેશનમાં તેમણે પોતાના અનુભવો અને અત્યારના સમય પ્રમાણે બાળકોને વિવિધ ટિપ્સ આપી હતી કે તેઓ કઇ રીતે કરિયરમાં આગળ વધી શકે છે. એઆઇના સમયમાં કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે સ્કીલ્સ પર વધુ ફોકસ કરોબાળકો ઘણીવાર એક્ઝામમાં બ્લેકઆઉટ થઇ જતા હોય છે પરંતુ આવી પરિસ્થિતીમાં ઘબરાવવું જોઇએ નહીં. બાળકોએ ગોખવા કરતા સમજીને વસ્તુઓને યાદ રાખવી અને કોન્સેપ્ટ પર વધુ ભાર આપવો જોઇએ. કેમ કે બેઝિક કાચું હોવાથી બાળકોને આગળ જઇને NEET-JEE જેવી પરીક્ષામાં અસર થતી હોય છે. એઆઇના સમયમાં સ્કીલ્સ પર વધુ ફોકસ કરવો જરૂરી છે. તો જ તમે કોમ્પિટિશનમાં ટકી શકશો. તમારે ઇન્સ્ટાગ્રામની જગ્યાએ લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ પર સમય આપવો જોઇએ. તમારે સમયને વિવિધ ભાગમાં વહેંચીને કામ કરવા જોઇએ. જેમાં સ્ટડી, રમવા અને સ્કીલ લર્નિંગ માટે સમય આપવો જોઇએ. પેરેન્ટ્સે પણ બાળકો પર નાનપણથી જ ધ્યાન આપવું જોઇએ. તેમજ હંમેશા લાંબુ વિઝન લઇને જ સ્ટડી કરવી જોઇએ.
મતદારો માટે સુવર્ણ તક:27-28 ડિસેમ્બરના કચ્છના તમામ બુથ પર મતદારયાદીમાં નામ ચકાસી શકાશે
ખાસ મતદાર યાદી સુધારાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારોને મોટી રાહત મળવાની છે. ગત 19 ડિસેમ્બરે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે આગામી 27 અને 28 ડિસેમ્બરના રોજ કચ્છના તમામ 2012 બુથ પર બીએલઓ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેશે. આ દરમિયાન મતદારો પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરાવવા, નામ કમી કરાવવા તેમજ સ્થળાંતર માટે જરૂરી ફોર્મ ભરીને સીધા બીએલઓ પાસે જમા કરાવી શકશે. સાથે જ 19 ડિસેમ્બરે જાહેર થયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તેની પણ ચકાસણી કરી શકશે. હાલમાં પણ અનેક મતદારોના મનમાં શંકા છે કે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ છે કે નહીં. તેવા મતદારો માટે આ સુવર્ણ તક છે. જો કોઈ મતદારનું નામ યાદીમાંથી કમી થઈ ગયું હોય તો તે જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરીને ફાઇનલ મતદાર યાદીમાં નામ ફરીથી દાખલ કરાવી શકશે. કચ્છમાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી દરમિયાન કુલ 2.14 લાખ મતદારોના નામ કમી કરાયા છે. જેમાંથી આશરે 55 હજાર મતદારોના અવસાનને કારણે તેમના નામ રદ્દ કરાયા છે, જ્યારે 1.25 લાખ જેટલા મતદારો સ્થળાંતર કરેલા હોવાનું સામે આવ્યું છે. જે મતદારોના નામ કમી થઈ ગયા છે તેવા તમામ મતદારો 18 જાન્યુઆરી સુધી જરૂરી આધાર પુરાવાઓ સાથે ફરીથી નામ દાખલ કરાવી શકશે. મહત્વની બાબત એ છે કે 65,078 જેટલા મતદારોના નામ ‘નો મેપિંગ લિસ્ટ’માં સામેલ કરવામાં આવ્યા છે. તમામ મતદારોને પણ 18-1 સુધી આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે, નહીં તો તેમના નામ ફાઇનલ યાદીમાંથી બહાર રહી શકે છે. ચૂંટણી તંત્ર દ્વારા લોકોને વધુમાં વધુ જાગૃત કરાઇ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં જ 4500 જેટલા મતદારોએ પોતાના નામ દાખલ કરાવવા માટે ફોર્મ-6 અને નામ કમી માટે ફોર્મ-7 ભરી ચૂક્યા છે. ચૂંટણી અધિકારીઓએ તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાના નજીકના બુથ પર જઈને મતદાર યાદીની ચકાસણી કરી લે જેથી ભવિષ્યમાં મતાધિકારથી વંચિત ન રહેવું પડે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું જ્ઞાનસત્ર થયું:મોરારીબાપુએ સાહિત્યિક પ્રવૃતિઓની કરી રજુઆત
ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું જ્ઞાનસત્ર મોરારીબાપુની નિશ્રામાં, જ્ઞાનપીઠ પુરષ્કૃત રઘુવીર ચૌધરીની ઉપસ્થિતિમાં પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતા અને મહામંત્રી સમીર ભટ્ટના નેતૃત્વમાં યોજાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 450થી વધું સાહિત્યકારો, રસીકો અને વિદ્યાર્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુએ લાક્ષણિક શૈલીમાં પરિષદની સાહિત્યિક પ્રવૃતિઓ રજુ કરી હતી. 40થી વધુ વિદ્વાન વક્તાઓએ 7 બેઠકોમાં રસપ્રદ સાહિત્યિક મીમાંસા કરી હતી. પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ સ્વાગત, મહામંત્રી સમીર ભટ્ટે સંકલન અને અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. જ્યારે ઉપપ્રમુખ રાજન ભટ્ટે આભાર વિધિ કરી હતી. દક્ષિણ ગુજરાતમાંથી મીનળ દવે, શરિફા વિજળીવાળા, સંધ્યા ભટ્ટ, વિવેક ટેલર અને બકુલ ટેલરે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન પ્રસ્તુત કર્યા હતા
અદ્ભૂત પ્રસ્તુતિ:માતા અને પુત્રી દ્વારા કથક નૃત્યની પ્રસ્તુતિ
સિનેર્જી આર્ટ્સ દ્વારા સંજીવકુમાર ઓડિટોરિયમમાં આરોહી અગ્રવાલનું કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક શાસ્ત્રીય નૃત્ય નહિ, માતાથી દીકરી સુધી કથક નૃત્યની પરંપરા કેવી રીતે આગળ વધે છે, તેનું ઉદાહરણ હતું. કાર્યક્રમની શરૂઆત દુર્ગા સ્તુતિથી થઈ, જેમાં આરોહીએ પોતાની માતા તનવી અગ્રવાલે સાથે નૃત્ય કર્યું હતું. આ પ્રસ્તુતિએ પેઢી દર પેઢી સુધી કથક નૃત્ય પરંપરાનું સુંદર પ્રતિક રજૂ કર્યું હતું.
મેરિયોટ હોટલ ખાતે કેક મેકિંગ કાર્યક્રમ:ક્રિસમસની થીમ પર આધારીત વિવિધ ફ્લેવર્સની હોમમેડ કેક
સુરત • ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે અઠવાલાઇન્સ સ્થિત મેરિયોટ હોટલ ખાતે કેક મેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફ્લેવર્સની વિવિધ કેક બનાવવામાં આવી હતી. એગલેસ ક્રિસમસ પ્લમ કેકની રેસીપીસામગ્રી: મેંદો – દોઢ કપ, ખાંડ (પાવડર કરેલી) – પોણો કપ, તેલ – અડધો કપ, દૂધ – અડધો કપ, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, બદામ, કિસમિસ, અંજીર) – અડધો કપ, ટૂટી-ફ્રુટી – અડધા કપથી ઓછી, ઓરેન્જ જ્યુસ અથવા પાણી – અડધા કપથી ઓછું, બેકિંગ પાવડર – 1 ચમચી, બેકિંગ સોડા – અડધી ચમચી, વેનીલા એસેન્સ – 1 ચમચી, દાલચીની પાવડર – અડધી ચમચી, જાયફળ પાવડર – ચપટી, લવિંગ પાવડર – ચપટી, વિનેગર અથવા લીંબુનો રસ – 1 ચમચી
ભાસ્કર ઈનસાઈડ:સોલાર કંપનીમાં ડીલરશીપ આપવાના નામે ઠગ દ્વારા ૩.11 લાખ પડાવી લેવાયા
શહેરના રાવલવાડી વિસ્તારમાં રહેતા વેપારીને સોલાર કંપનીમાં ડીલરશીપ આપવાના નામે ગઠીયાઓએ નિશાન બનાવ્યા હતા અને રજીસ્ટ્રેશન, એગ્રીમેન્ટ તેમજ ડીપોઝીટના નામે રૂપિયા ૩.11 લાખ પડાવી લેવાયા હતા. ફરિયાદી અરવિંદભાઈ ખીમજીભાઈ લેઉવાએ એ ડીવીઝન પોલીસ મથકે મોબાઈલ નંબર અને મેઈલ આઈડીના ધારકો સામે ગુનો નોધાવ્યો છે. જે મુજબ ગત 17 નવેમ્બરના ટાટા સોલાર કંપનીમાં ડીલરશીપ લેવા માટે વેબસાઈટ પર તપાસ કરી હતી. જેના બીજા દિવસે ફરિયાદીને મેઈલ અને ફોન આવ્યો હતો જેમાં સોલાર કંપનીમાં ડીલરશીપ માટે ભરવાનું ફોર્મ અપાયેલું હતું. ફરિયાદીએ ફોર્મની વિગતો અને ડોક્યુમેન્ટ સહીત આરોપીની મેઈલ આઈડી પર મોકલાવી દીધા હતા. જે બાદ આરોપીએ ફોન કરી રજીસ્ટ્રેશન માટે રૂપિયા 25 હજારની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ તેના કહ્યા મુજબ ભરી દીધા હતા. ત્યારબાદ આરોપીએ એગ્રીમેન્ટ અને સિક્યુરીટી ડીપોઝીટ માટે રૂપિયા ભરવાનું કહેતા આરોપીએ અલગ અલગ સમયે રૂપિયા 2.80 લાખ ભરી દીધા હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લઇ ઠગાઈના બનાવને અંજામ આપ્યો હતો. ક્રેડીટ પર માલ આપવાનું કહેતા શંકા ગઈફરિયાદી પાસેથી અલગ અલગ બહાને રૂપિયા પડાવ્યા બાદ આરોપીએ સોલારના સામાન માટે રૂપિયા 10 લાખ ભરવા કહ્યું હતું. ફરિયાદી બે દિવસ કામમાં હોવાથી રૂપિયા મોકલાવ્યા ન હતા. જેથી આરોપીએ ફરીથી ફોન કર્યો હતો અને 5 લાખ રૂપિયા હમણાં મોકલવાનું કહી બીજા રૂપિયા માલ મળી જાય પછી મોકલવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીને શંકા ગઈ હતી કે, કોઈપણ કંપની સોલારનું સામાન ક્રેડીટ પર આપતી નથી. રૂપિયા મળ્યા બાદ જ સામાન મોકલાવે છે. જેથી આ મામલે ફરિયાદીએ તપાસ કરી અને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું હતું.
ધુમ્મસના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો:બરેલી-ભુજ એક્સપ્રેસ 9 કલાક મોડી પડતા અનેક પરેશાન
ઉત્તર ભારતમાં છવાયેલા ગાઢ ધુમ્મસની સીધી અસર કચ્છના રેલવે વ્યવહાર પર જોવા મળી રહી છે. ગત 23 તારીખે બરેલીથી ઉપડતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં સાડા 9 કલાક મોડી ચાલતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન મોડી પડવાના કારણે અનેક મુસાફરોની આગળની મુસાફરી અને રજાઓના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. આ અંગેની વિગતો મુજબ, 23 તારીખે બરેલીથી સવારે 6.35 કલાકે ઉપડતી આ ટ્રેન અંદાજે 3 કલાક મોડી એટલે કે સવારે 9.37 કલાકે રવાના થઈ હતી. માર્ગમાં વિલંબ વધતો જતાં 24 તારીખે સવારે 10.50 કલાકે ભુજ પહોંચવાને બદલે આ ટ્રેન અંદાજે 9 કલાક અને 24 મિનિટ જેટલી મોડી રાત્રે 8.14 કલાકે ભુજ સ્ટેશન પર આવી પહોંચી હતી. લાંબા અંતરની આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ સ્ટેશન પર ઉતરીને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જે મુસાફરોને કચ્છના પ્રવાસન સ્થળો કે પ્રસંગોમાં પહોંચવાનું હતું, તેમનું શિડ્યુલ બગડી ગયું હતું.અનેક મુસાફરોને અન્ય બસ પકડવાની હતી, જે ટ્રેન મોડી થવાને કારણે છૂટી ગઈ હતી. ટ્રેનમાં કલાકો સુધી રહેવાને કારણે વૃદ્ધો અને બાળકોને ખાવા-પીવાની તકલીફ પડી હતી.આ ટ્રેન મોડી આવવાની અસર વળતી ટ્રેન પર પણ પડી હતી. રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ગાઢ ધુમ્મસ હોવાને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. સુરક્ષાના કારણોસર ટ્રેનની ગતિ ધીમી રાખવી પડી હતી, જેના કારણે વિલંબ સર્જાયો હતો. જોકે, રેલવેની આ સ્પષ્ટતા સામે પ્રવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો કારણ કે તેમની કિંમતી રજાઓ અને આગળની મુસાફરીના નાણાં વેડફાયા હતા.પ્રવાસીઓએ ઓનલાઇન ફરિય5 કરતા રેલવેએ દિલગીરી વ્યકત કરી હતી. ભુજથી પણ ટ્રેન મોડી: રેલવેતંત્રની દોડધામ વધીબરેલીથી ટ્રેન મોડી આવવાની અસર ભુજથી ઉપડતી ટ્રેન પર પણ પડી હતી. ભુજથી 24 તારીખે બપોરે 4.15 કલાકે ઉપડતી ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન, રેક મોડા આવવાને કારણે અંદાજે 5.30 કલાક વિલંબિત રહી હતી. રાત્રે 8.14 કલાકે આવેલી ટ્રેનને તાબડતોબ તૈયાર કરી રાત્રે 9.40 કલાકે રવાના કરવામાં આવી હતી. માત્ર સવા કલાકમાં જ ટ્રેન પરત મોકલવામાં આવતા રેલવે સ્ટાફમાં પણ દોડધામ મચી હતી.
આપઘાતનો મામલો:સ્લેટમાં ‘સોરી પપ્પા’ લખીને ધો. 9ની વિદ્યાર્થિનીનો ફાંસો
નવાગામ ડિંડોલી સૂમન સ્વપ્ન આવાસ ખાતે રહેતા ધર્મેન્દ્ર પાંડે હીરાના કારખાનામાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની 15 વર્ષીય પુત્રી શગુન ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. ગુરૂવારે સવારે શગુને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. શગુને આપઘાત પહેલા સ્લેટમાં સોરી પપ્પા લખ્યું હતું અને ત્યાર બાદ પગલું ભરી લીધું હતું. શગુનને તેના પિતાએ ટ્યુશનમાં ગેર હાજર રહેવા બાબતે અને વધુ પડતો મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો. જેનું માઠુ લાગી આવતા શગુને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બીજા બનાવમાં ડભોલી રોડ યમુના પાર્ક સોસાયટીમાં રહેતા 50 વર્ષીય પ્રવિણભાઈ નાનજીભાઈ સોંડાગર હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરૂવારે વહેલી સવારે તેઓ ઘરેથી કોઈને કઈ પણ કહ્ય વગર નીકળી ગયા હતા અને ડભોલી બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું. સ્થાનીક માછીમારોની નજર પડતા તેમને બહાર કાઢ્યા હતા. જોકે તેમનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. થોડો સમય પહેલા જ પ્રવિણભાઈની માતાનું અવસાન થયું હોવાથી તેઓ તણાવમાં રહેતા હતા. જેથી માતાના વિરહમાં તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:જૂનો માર્ગ તોડ્યા વગર તેના પર નવો ચણી દેવાયો
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ગલ્લી મહોલ્લામાં સી.સી. રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ, જૂનો સી.સી. રોડ તોડીને તેના ઉપર નવો પડ પાથરવાની શરતનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. આમ છતાં ઠેકેદાર સામે કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી! શહેરમાં ડામર રોડના રિસર્ફેસિંગના કામમાં જૂના રોડ તોડવાને બદલે જૂના પડ ઉપર નવા પડ ચડાવી દેવાય છે, જેથી વી.ડી.હાઈસ્કૂલ સામેની કોલોની સહિતના રહેણાક વિસ્તારોમાં રોડથી ખૂબ જ નીચે આવી ગયા છે અને ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાથી પીડાય છે. એ તો ઠીક પણ હાલ ગલી મહોલ્લામાં સી.સી. રોડ બની રહ્યા છે, જેમાં જૂનો રોડ તોડ્યા વિના ઉપર પડ પાથરી દેવાયો છે, જેથી સી.સી. રોડ એપાર્ટમેન્ટના પગથિયાથી ઉપર થઈ ગયો છે. અન્ડર ગ્રાઉન્ડની બારી ઢંકાઈ ન જાય એટલો રાઉન્ડ બાકી રાખી દેવાયો છે, જેથી ચોમાસામાં રોડનું પાણી અન્ડર ગ્રાઉન્ડમાં જશે. આમ, વેપારીઓના ગોડાઉનમાં પાણી ભરાશે અને તેઓને ભારે નુકશાની વેઠવાનો સમય આવશે. આમ છતા તેની ગંભીરતા સમજી કામ અટકાવાયું નથી, જેથી વેપારીઓને ભારે નુકસાન થાય એમ છે. મહોલ્લામાં સી.સી. રોડ બની રહ્યા છે, જેમાં જૂનો રોડ તોડ્યા વિના ઉપર પડ પાથરી દેવાયો છે, જેથી સી.સી. રોડ એપાર્ટમેન્ટના પગથિયાથી ઉપર થઈ ગયો છે. અન્ડર ગ્રાઉન્ડની બારી ઢંકાઈ ન જાય એટલો રાઉન્ડ બાકી રાખી દેવાયો છે, જેથી ચોમાસામાં રોડનું પાણી અન્ડર ગ્રાઉન્ડમાં જશે. આમ, વેપારીઓના ગોડાઉનમાં પાણી ભરાશે અને તેઓને ભારે નુકશાની વેઠવાનો સમય આવશે. આમ છતા તેની ગંભીરતા સમજી કામ અટકાવાયું નથી, જેથી વેપારીઓને ભારે નુકસાન થાય એમ છે. જૂનો પડ ઉખેડીને બનાવવાનો હોય : પાલિકાના ઈજનેરબાંધકામ શાખાના ઈજનેર મેહૂલ ગોસ્વામીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ટેન્ડરની શરત મુજબ જૂનો રોડ તોડીને જૂનો પડ ઉખેડીને નવો રોડ બનાવવાનો હોય. હું તપાસ કરી લઉં. સૂચના આપી દઉં
નોકરી ન્યૂઝ:SSC સ્ટેનોગ્રાફરની 326 જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 50 હજારથી વધુ પગાર
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ગ્રેડ C સ્ટેનોગ્રાફરની 326 જગ્યામાટે ભરતી કરાશે.જેઓ હાલ સ્ટેનોગ્રાફર ગ્રેડ D તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ 11 જાન્યુ. 2026 સુધીમાં ssc.gov.in પર અરજી કરી શકશે. લાયક કર્મીઓએ ઓનલાઇન ફોર્મ ભરી તેની પ્રિન્ટ આઉટ દસ્તાવેજો સાથે 27 જાન્યુ. સુધીમાં કચેરીએ મોકલી આપવાની રહેશે. SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C ભરતી લાયકાત
ભક્તિ સત્સંગનું ઉદઘાટન કરાયું:વિશ્વ જાગૃતિ મિશન દ્વારા સુધાંશુજી મહારાજની ઉપસ્થિતિમાં સત્સંગ
સુધાંશુજી મહારાજની ઉપસ્થિતિમાં ભક્તિ સત્સંગનું ઉદ્ઘાટન કળશ શોભાયાત્રા દ્વારા કરવામાં આવ્યું.વિશ્વ જાગૃતિ મિશન દ્વારા સંચાલિત બાલાશ્રમ અનાથાલય મંડળના નેજા હેઠળ આયોજિત ચાર દિવસીય ભવ્ય ભક્તિ સત્સંગ ગુરુવાર, 25 ડિસેમ્બરના રોજ કળશ શોભાયાત્રા સાથે શરૂ થયો હતો. સાંજે 4:30 વાગ્યે, બાલાશ્રમની વ્હાઇટ લોટસ સ્કૂલથી કળશ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સંત સુધાંશુજી મહારાજ રથમાં બેઠા હતા.મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાના માથા પર શુભ કળશ ધારણ કરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. વૈદિક પરંપરા અનુસાર સમારોહનું ઉદ્ઘાટન કરાયુંરાધા-કૃષ્ણ અને ભગવાન શિવને દર્શાવતી બેન્ડ અને આકર્ષક ટેબ્લો સાથે, શોભાયાત્રા વ્હાઇટ લોટસ સ્કૂલથી સોમેશ્વરા એન્ક્લેવ થઈને સત્સંગ સ્થળ સુધી પહોંચી હતી. સુધાંશુજી મહારાજે વૈદિક પરંપરા અનુસાર ભક્તિ સત્સંગનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. સંત સુધાંશુજી મહારાજ વેસુના રિલાયન્સ મોલની સામે, રામલીલા મેદાન ખાતે 26થી 28 ડિસેમ્બર સુધી રોજ સવારે 9:30થી 11:30 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી સત્સંગ કરાવશે.
વિરોધ પ્રદર્શન:બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર સામે વિહિપનું 6 સ્થળે વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને હત્યાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ લિંબાયત દ્વારા સુરતના વરાછા, લિંબાયત, મીનીબજાર, પર્વત પાટિયા સહિત જુદા જુદા 6 સ્થળો પર એક જ સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કબૂતર સર્કલ, મોડલ ટાઉન, પરવત પાટિયા સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતાં . હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ધર્મ પ્રસાર પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દક્ષિણ ગુજરાત, જીલ્લા પ્રમુખ સહિતના આગેવાનો એ ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતી અંગે પ્રતિક્રિયા આપી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
પુણા ગામ ખાતે ‘સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ’ વાંસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ, દ્વારા 17માં સમૂહલગ્ન સમારોહનું આયોજન થયું હતું.જેમાં 12 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. દાતાઓનાં સહયોગથી કન્યાઓને 60થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હતી. આ સમારોહની શરૂઆતમાં સમાજનાં ગંગાસ્વરૂપ માતાઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સમાજને રૂઢિચુસ્ત માન્યતાઓ છોડી એક નવી રાહ ચિંધવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ આ સમૂહલગ્ન સમારોહમાં જોડાનાર વર-કન્યા માટે સાંપ્રત સમયની માંગને ધ્યાને લઈ બેન્ડવાજા, બગી, ફટાકડા ફોડવા, પ્રી-વેડિંગ ફોટોશૂટ તથા વરઘોડો કે ફુલેકુ જેવા બિનજરૂરી ખર્ચ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમાજનાં દાતાઓ, વિવિધ ક્ષેત્ર તથા પ્રદેશનાં અગ્રણીઓ તેમજ સેવાભાવી જ્ઞાતિજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 10 હજાર જેટલા જ્ઞાતિજનોએ ભોજનનો પણ લાભ લીધો હતો. 12થી 18 જાન્યુઆરી દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમજ 14 તથા 15 ફેબ્રુઆરી દરમ્યાન પ્રજાપતિ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવશે. માત્ર લગ્નવિધિ જ નહીં અનેક નિ:શુલ્ક સુવિધા અપાય છેવિઠ્ઠલભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે દીકરીઓને ફક્ત લગ્નવિધિ અને કરિયાવર જ નહીં પરંતુ એ ઉપરાંત કન્યાઓને “મહેંદી,બ્યુટી પાર્લર, રાસ ગરબા તથા ગણેશ નોંતરુ જમણવાર તેમજ ફુલેકું જમણવાર જેવી વિવિધ સેવા વ્યવસ્થાનો નિ:શુલ્ક લાભ આપવામાં આવ્યો હતો.
વેસુમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે વક્તા મુકેશ ઓઝાએ, પાવન પ્રસંગોમાં નૃસિંહ પ્રગટ્યા, વામન પ્રગટ્યા, રામ પ્રગટ્યા અને ભગવાન કૃષ્ણના પ્રગટ્યાની કથા કહી ભગવાન વિષ્ણુના અવતારો અને અવતાર લેવાનું પ્રયોજન તેમજ જગતના કલ્યાણ માટે અને ધર્મના રક્ષણ માટે કેવી રીતે અવતરણ કર્યું પૃથ્વી પર આવીને કઈ કઈ લીલાઓ કરી ભક્તોએ તેમને ઓળખ્યા તેમનું ભજન કર્યું અને આજ દિવસ સુધી પણ અવતારોની કથા અને અવતારોના જન્મના ઉત્સવ મનાવવામાં આવે છે તે વિશે કથાના માધ્યમથી સમજાવ્યું હતું. રાસ ગરબા સાથે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. દરેક પ્રભુ પ્રગટ્યાની ભવ્ય કથા કરી શ્રોતાઓને મંત્રમગ્ન કર્યા. આજે દિકરી વિશે ખુબ સુંદર વાત કરી ઈશ્વર દિકરા ને ધરતી પર મોકલે ત્યારે કહે જા તારા પિતાનું ધ્યાન રાખજે અને દિકરી ને મોકલે ત્યારે કહે છે જા હું તારા પિતા નું ધ્યાન રાખીશ. દિકરીના ત્રણ અક્ષર ‘દી’થી દિલને સ્પર્શી જાય, ‘ક’થી કસ્તુરીની જેમ મહેકી જાય, અને ‘રી’થી રિદ્ધિ સીધી આવી જાય.
ફરિયાદ:પાડોશીએ રોકાણ સામે નફાની લાલચ આપીને 30 લાખ ઠગી ડિજિટલ એરેસ્ટની ધમકી આપી
મોબાઇલ એપમાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપી વેપારી પાસેથી 30 લાખ પડાવી ભેજાબાજ પાડોશીએ જ ક્રાઈમ બ્રાન્ચ, સીબીઆઈ અને ઇડીની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરવાનું જણાવતા ગભરાયેલા વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરતાં ગોત્રી પોલીસે આરોપીને નિવેદન માટે બોલાવ્યા છે. વાસણા ભાયલી રોડ પરના વિજયભાઈ છાભૈયાએ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, દુકાનની બાજુમાં ઓફિસ ધરાવતા ત્રણે 30 લાખની છેતરપિંડી કરી છે. પ્રગ્નેશ ચૌહાણ, કિશનભાઇ ચૌહાણ નામના પિતા પુત્ર અને કાર્તિકભાઈ ચૌહાણે મોબાઇલ એપમાં રોકાણથી સારું વળતર મળશે કહી 28.80 લાખ રોકાવ્યા હતા. વળતર માગતાં પ્રગ્નેશ ચૌહાણે ધમકી આપી હતી કે, ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું.રોકાણ માટે આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા? ઇડીના દરોડા પડશે. બાદમાં વીડિયો કોલ કરી પોલીસના વેશમાં ધમકી આપી 4 લાખ કાર્ડમાંથી ઉપાડી લીધા હતા. જેથી 3 સામે લેખિત ફરિયાદ કરી હતી. મારી ઉપર લાગેલા આરોપો ખોટા છેફરિયાદ અંગે પ્રજ્ઞેશ ચૌહાણે જણાવ્યું હતું કે, વિજયભાઈ અને અમારી વચ્ચે નાણાંકીય વ્યવહાર થયો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકીના આરોપો ખોટા છે. ગોત્રી પોલીસે મને, મારા પિતા કિશનભાઇ અને પિતરાઈ કાર્તિકને નિવેદન માટે બોલાવ્યા છે. અમે પોલીસને તમામ હકીકત જણાવીશું. જો જરૂર લાગશે તો અમે વળતી કાર્યવાહી પણ કરવા માટે તૈયાર છીએ. પરિચિત ડિજિટલ એરેસ્ટ કરે એવી વિચિત્ર ઘટના છેસાયબર ક્રાઈમ ડિજિટલ એરેસ્ટ સામે લોક જાગૃતિનું કામ કરી રહ્યો છે. છતાં લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. આવા બનાવોમાં આરોપીઓ અજાણ્યા હતા.પરંતુ આ મામલામાં રોકાણ માટે આપેલી રકમ પરત ન કરવી પડે એ માટે પડોશીએ જ ડિજિટલ એરેસ્ટનું ષડયંત્ર રચ્યું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે યોગ્ય તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય કોઈ આવો ગુનો કરતા અટકી જાય. > ભાવિન વ્યાસ, એડવોકેટ, નોટરી
પાલિકાની સુમન હાઇસ્કૂલના 16,000 વિદ્યાર્થીઓને હજુ સુધી સ્પોર્ટ્સ બૂટ અને મોજાં મળ્યાં નથી. હવે જાન્યુઆરીમાં મળવાની અપેક્ષા છે. સત્રની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે બાળકોને બે સેટ યુનિફોર્મ, એક સેટ સ્પોર્ટ્સ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ્સ શૂઝ અને મોજાં મળશે. જો કે, ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં અને સ્થાયી સમિતિ તરફથી અંતિમ મંજૂરીના અભાવે વિતરણ પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આ યોજના માટે બજેટમાં 1.05 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ટેન્ડર માટે બે એજન્સીઓ લાયક ઠરી હતી, જેમાં સૌથી ઓછી બોલી લગાવનારી યુનિસ્ટાર ફૂટવેરને બૂટ-મોજાં બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સ્કૂલ સેલ દ્વારા સ્થાયી સમિતિને દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ વિદ્યાર્થીઓને રમત-ગમતના બૂટ અને મોજાંનું વિતરણ જાન્યુઆરી 2026માં થવાની ધારણા છે. અધિકારીઓનું કહેવું છે કે, આ યોજના બાળકોમાં રમત-ગમત તેમજ અભ્યાસમાં તેમની રૂચિ વધારશે.

23 C