ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈટાલિયાએ રાહત પેકેજને 'ખેડૂત મજાક પેકેજ' ગણાવ્યું ગુજરાતમાં માવઠાના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હોઈ, સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. AAP નેતાઓે આ પેકેજને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાહત પેકેજને ખેડૂત મજાક પેકેજ ગણાવ્યું છે. રાજકોટ આવેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાંભળવામાં તો એવું લાગે કે ખેડૂતો બધા માલામાલ થઇ જશે અને દરેકના ફળિયામાં એક-એક હેલિકૉપ્ટર ઊભાં રહેશે, પરંતુ આ ખેડૂતોની મજાક બનાવી છે. આ રાહત પેકેજ નહિ, પરંતુ કૃષિ મજાક પેકેજ છે. સરકારના આ પેકેજથી ખેડૂતો માત્ર આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ખરીદી શકે એમ છે. સરકાર જો ખરા અર્થમાં મદદ કરવા માગતી હોય તો દરેક ખેડૂતને હેકટરદીઠ 50,000ની સહાયની જાહેરાત કરે, કારણ કે માત્ર બે હેકટર જમીનમાં વરસાદ નથી વરસ્યો, બધી જ જમીન પર પડ્યો છે, માટે દરેક ખેડૂતને જેટલું નુકસાન થયું છે એ તમામ હેકટરદીઠ 50,000ની સહાય આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માગ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જિગીષા પટેલની રાહત પેકેજ મામલે ખેડૂતો સાથે ઓટલા બેઠક ગુજરાતમાં માવઠાના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હોઈ, સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. AAP નેતાઓે આ પેકેજને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મહિલા નેતા જિગીષા પટેલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સાથે ઓટલા બેઠક કરી પેકેજ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. ગોંડલના દેવચડી ગામમાં ભાજપના કાર્યકર્તા અને જિગીષા પટેલ વચ્ચે ગણેશ ગોંડલને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના કાર્યકર્તાએ કહ્યું હતું કે બહેન, તમે સુરતમાં હતાં એ બરાબર હતાં, અહીં ન મથો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવો પરિપત્ર પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં થયેલ ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને નવો પરિપત્ર પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શંકર ચૌધરીની વિરોધીઓને ચેતવણી વાવ-થરાદ જિલ્લાના મલુપુર ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, કંઇક સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું ચુપ નહીં બેસું. અત્યારે મર્યાદાના કારણે હું નથી બોલતો બાકી તમને જેટલું આવડે છે એના કરતાં અનેકગણુ મને પણ આવડે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાટણ પાલિકામાં ભાજપ Vs ભાજપ પાટણ પાલિકામાં ભાજપ V/S ભાજપનો ઘાટ ઘડાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને ભાજપના જ 6 નગરસેવકોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી તેમની સામે પગલા લેવાની વિનંતી કરી છે. તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, આજકાલથી નહીં વર્ષ 2020માં જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાંખતા આવ્યા છે. જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે કામો નામંજૂર કરાવે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો MSUમાં 74મો પદવીદાન સમારોહ યોજાયો વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો (MSU) 74મો પદવીદાન સમારોહ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાયો હતો. યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાંથી 11,279 વિદ્યાર્થીઓએ હાજર રહીને ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કુલ 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થિનીઓના દબદબાને ખાસ બિરદાવ્યો હતો. રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ગેસ્ટ ઑફ ઑનર તરીકે હાજર રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દિલ્હીથી અમદાવાદની વધુ 7 ફ્લાઇટ્સ ડીલે એર ટ્રાફિક કંટ્રોલ ફ્લાઇટ પ્લાનિંગને ટેકો આપતી AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે આજે પણ અમદાવાદથી અસર કરતી અનેક ફ્લાઇટ ડીલે થઈ હતી. દિલ્હીથી અમદાવાદ આવતી રાત્રે 12 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 2 ફ્લાઇટ 6E 6792, 163ની ફલાઇટ 2 કલાકથી વધુ સમય મોડી પડી હતી. જ્યારે સ્માર્ટ વિંગ્સની SG 8193ની ફલાઇટ 3 કલાકથી વધુ સમય મોડી પડી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 3 પેટ્રોલ પંપના માલિકનો બે દીકરી સાથે આપઘાત ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીનાં આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ધીરજ રબારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો છે. અગાઉ આજે સવારે પિયજ કેનાલમાંથી બંને દીકરી જહાન્વી અને જીયાના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતાં રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કલોલ રેફરલ હોસ્પિટલમાં બંને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેમને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળે પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં યુવકનું મોત આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાઈ છે. એક યુવક પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે તેની ટક્કર થતાં કારચાલક યુવકનું કરુણ મોત થયું હતું. આ મામલે એસ. જી. 1 ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
9 નવેમ્બર એટલે જૂનાગઢનો ઐતિહાસિક મુક્તિ દિવસ. રવીવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. શહેરમાં એક તરફ મુક્તિ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો બીજી તરફ મોટાભાગના રસ્તાઓ પર ખાડાઓનું રાજ હોય લોકોએ હૈયાવરળા ઠાલવી હતી. મુક્તિ દિવસની ઉજવણી પૂર્વે શહેરીજનોએ કહ્યું હતું કે, જૂનાગઢવાસીઓને હજી પણ અસુવિધાઓથી મુક્તિ મળવાની બાકી છે. ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારમાં પહોંચી રસ્તાની સ્થિતિ જાણી લોકોને પડી રહેલી તકલીફ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોદેલા રસ્તાઓ, ખાડાઓ અને ગટરના અધૂરા કામથી ઉડતી ધૂળજૂનાગઢ શહેરની મુલાકાત લેતા ગીરનાર તરફ જતો રસ્તો, ગિરિરાજ નગર, જોષીપુરા, મધુરમ વિસ્તારની સોસાયટીઓ અને હાટકેશ હોસ્પિટલ તરફના રસ્તાઓ પર ખોદેલા ખાડા, ગટરના અધૂરા કામો અને ધૂળની ઊડતી ડમરીઓ જોવા મળી હતી. જનતાનો સૂર હતો કે, આ દૃશ્યો જાણે કહી રહ્યા છે કે જૂનાગઢ હજુ સુવિધાઓમાંથી આઝાદ થયું જ નથી. જૂનાગઢના રહેવાસી ભગવાનદાસે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે જૂનાગઢ ફક્ત ખાડા નગરી છે. વહેલા મોડું અયોધ્યા નગરી અને દ્વારકા નગરીથી વધારે જૂનાગઢની ખાડાનગરી વધુ પ્રખ્યાત થઈ જશે. મહાનગરપાલિકા માત્ર પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં માને છે કોઈ સુવિધા આપવામાં માનતી નથી. હાલ મુક્તિ દિવસને લઈ રોડ પર જે ડામર પાથરીને સર્કલો શણગારવામાં આવ્યા છે, તે માત્ર ઉપર કક્ષાએ સારું બતાવવા માટેના ગતકડાં છે. મુખ્યમંત્રીની અગાઉની ટકોર માત્ર ટકોર જ રહી, કોઈ સુવિધા મળી નથી. આ મુખ્ય રસ્તાઓ મુખ્યમંત્રી આવે ત્યાં સુધી જ સારા રહેશે અને ત્યારબાદ ફરી જેવા હતા તેવા જ થઈ જશે. ખરાબ રસ્તાઓના કારણે વૃદ્ધોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે- ગિરધારીભાઈબસ સ્ટેન્ડ પાછળના ગિરિરાજ નગરમાં રહેતા ગિરધારીભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં ચાલી શકાય તેવા રોડ-રસ્તા નથી, બધી બાજુ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ગઈકાલે જ એક ભાઈ અહીં ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. જુનાગઢ આઝાદ થયું જ નથી, અહીં બખડજંતર ચાલી રહ્યું છે. કદાચ બીજા ભવમાં જૂનાગઢ આઝાદ થાય, પરંતુ આ ભવમાં તો નહીં થાય. ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનેલા મણિલાલ અરમાણીયાએ જણાવ્યું કે જૂનાગઢને હજુ પૂરતી સુખ-સુવિધા મળી નથી, એટલે આઝાદી મળી નથી. આ ખરાબ રોડ-રસ્તા પર ચાલતા ચાલતા અચાનક જ પડી જવાય છે, છેલ્લા વર્ષમાં હું ચાર વાર આ ખરાબ રોડ-રસ્તાનો ભોગ બન્યો છું. રજૂઆત કરીએ છીએ ત્યારે કોઈ સાંભળતું નથી. મુખ્યમંત્રી આવવાના છે, માટે તેમના પસાર થવાના રસ્તા પર થીગડાં મારવામાં આવ્યા છે, જેથી તેમને રોદો ન આવે. અહીં ક્યારેય કોર્પોરેટર પણ દેખાયા નથી અને બધું લોલમલોલ ચાલે છે. નવા રસ્તા બનવાના છે તો પછી પેચવર્ક કરી કરોડો રૂપિયાના વેડફાટનું કારણ શું?- વિપક્ષજૂનાગઢ વિપક્ષના નેતા લલિત પરસાણાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, દિવાળી પહેલા શહેરના મુખ્ય રસ્તાઓમાં ડામરના પેચવર્ક કરવામાં આવ્યા હતા, જે રસ્તાઓ ₹275 કરોડના ખર્ચે બનવાના છે. હવે ટેન્ડર બે-ચાર દિવસમાં ખોલવાના છે, ત્યારે જે રસ્તા ઉપર લાખો રૂપિયા ખર્ચી પેચવર્ક કર્યું તેને ફરી ખોદવામાં આવશે. આ પ્રજાના પૈસાનો કરોડો રૂપિયાનો વેડફાટ છે. વર્ષોથી જૂનાગઢની જનતાને સુવિધા આપવા મામલે ચીરહરણ કરવામાં આવે છે. હાલ મુક્તિ દિવસની ઉજવણીના સમયે એટલું જ કહીશ કે શાસકો, ભ્રષ્ટાચાર અને ખાડાઓના ત્રાસથી જૂનાગઢને મુક્ત કરવું જોઈએ. ઉપરકોટના રિનોવેશન છતા ત્યાં સુધી પહોંચવાનો એકપણ સારો રસ્તો નથી-અમૃત દેસાઈજૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે પણ જૂનાગઢ આઝાદ થયું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાને અસ્તિત્વમાં આવ્યાને 20 વર્ષ વીત્યા, કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવાયા, પરંતુ આજની તારીખે પણ જૂનાગઢની પ્રજા ખરાબ રોડ-રસ્તાના કારણે મુશ્કેલી ભોગવી રહી છે અને જુનાગઢ 'ખાડાગઢ' તરીકે ઓળખાઈ ગયું છે. નરસિંહ મહેતાના ચોરાનો નવો રસ્તો તૂટી ગયો છે અને ઉપરકોટના રીનોવેશન છતાં ત્યાં સુધી પહોંચવાનો એક પણ રસ્તો સારો નથી. ટૂંક સમયમાં 275 કરોડના ખર્ચે શહેરના નવા રસ્તા બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થશે- સ્ટે. ચેરમેનઆ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે સાથે દિવ્ય ભાસ્કરે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું કે, આગામી ત્રણ-ચાર દિવસમાં જ ₹275 કરોડના ખર્ચે જૂનાગઢના રોડ-રસ્તા નવા બનશે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે. હાલ જે રસ્તા ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, તેને નવા રોડ બનાવવા માટે ફરી ખોદવા જરૂરી બનશે. જમીનની અંદરના કામો ગટર, ગેસ પાઇપલાઇનને કારણે રોડ-રસ્તા ખોદવા જરૂરી બને છે, પરંતુ હવે થોડા સમય બાદ જ ₹275 કરોડના ખર્ચે નવા શહેરના રસ્તાઓ બનશે એટલે લોકોને મુશ્કેલી નહીં પડે.પલ્લવીબેન ઠાકરને જ્યારે પૂછવામાં આવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો કે જેનો જૂનાગઢની જનતા લાભ લઈ રહી હોય તેવા નામો જણાવો ત્યારે પલ્લવીબેન ઠાકર દસ વર્ષમાં પૂર્ણ કરેલા પાંચ કામો પણ જણાવી શક્યા ન હતા.
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આજે(8 નવેમ્બર) વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. વાજાએ રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મનિષા વકીલ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી અને પ્રગતિમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડૉ. પ્રદ્યુમન વાજાએ ડૉ. આંબેડકર સંકલ્પ ભૂમિની મુલાકાત લીધીમંત્રીએ સૌપ્રથમ સયાજી બાગમાં આવેલી ડૉ. આંબેડકર સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આદર અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંત્રીએ કલ્યાણનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકની મુલાકાત લીધી હતી. મંત્રીએ આ સ્મારકમાં તૈયાર થઈ રહેલા મ્યુઝિયમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેની પ્રગતિની વિગતો મેળવી હતી. સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજીમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ સ્મારકની ચાલી રહેલી સમગ્ર કામગીરી અંગે સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તા અને સમયમર્યાદા જાળવીને કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાઆ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓની સાથે અગ્રણી જયપ્રકાશ સોની, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાયલોટિંગ કરતી કાર અને દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડીમાંથી 480 બિયર ટીન સહિત કુલ રૂ. 1,17,600નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 5,83,100નો મુદ્દામાલ કબજે કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક છેલ્લા બે વર્ષથી બે ગુનામાં નાસતો ફરતો હતો. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.જે. ચાવડાની ટીમે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહકારીજીન ઓવરબ્રિજના ઉતરતા છેડે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ગાડીઓ આવતાં તેને રોકવામાં આવી હતી. તપાસ કરતાં બંને ગાડીઓમાં કુલ ચાર ઈસમો બેઠેલા હતા અને સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરની પેટીઓ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી કિરણ ઉર્ફે બાદશાહ નગજી ભાનાજી ડામોર (રહે. સકલાલ, રાજસ્થાન) છેલ્લા બે વર્ષથી બે અલગ-અલગ ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસે તેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: 1. વિદેશી બિયર ટીન 480 નંગ, કિંમત રૂ. 1,17,600 2. ચાર મોબાઈલ ફોન, કિંમત રૂ. 15,500 3. હુંડાઈ ઈઓન કાર, કિંમત રૂ. 1,50,000 4. સ્વીફ્ટ કાર, કિંમત રૂ. 3,00,000 આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: 1. કિરણ ઉર્ફે બાદશાહ નગજી ભાનાજી ડામોર (રહે. સકલાલ, ફારકીફળો, તા. નયાગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 2. સુનિલ જીવતરામ રમાજી બરંડા (રહે. બાયડી, ખેરીયા ફલા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 3. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (રહે. દેમત, પો. પાટીયા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) 4. અમરતલાલ છબીલાલજી વેચાતજી ગામેતી (રહે. કણબઈ, વડાઘરા, તા. નયાંગાવ, જી. ઉદેપુર, રાજસ્થાન) આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે, જેમાં દારૂનો જથ્થો ભરી આપનાર છગન ગરાસીયા (સેલ્સમેન, રહે. કાનપુર), કાનપુર ઠેકાના માલિક પ્રવિણ કલાલ અને દારૂ લેવા આવનાર આશિષ (પૂરું નામઠામ અજાણ)નો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરમાં વધુ એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થયો છે દરમિયાન વ્યાજખોર વિજય મકવાણા અને તેના માણસો દ્વારા યુવકને આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતેનો ખાર રાખી તેના ભાઈ કે જેઓ તલાટી મંત્ર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેની પાસ કરી તેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને તમે જ ભાઈને લપ્ત કરી સી રૂપિયા આપવા પડશે કહી નાસી છૂટ્યા હતા જે મામલે પોલીસ ફ્રિયા નોંધી તપ હાથ ધરી છે. યુવકના પિતાએ પણ તેમના અને પરિવારની જાનનું જોખમ હોવાનું કહી વ્યાજખોર વિજય મકવાણા અને તેના ભાઈ સિંગર ભાવેશ મકવાણા સામે પઠાણી ઉઘરાણી કરતા અંગે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. જો કે સામા પક્ષે ભાવેશ મકવાણાએ પણ એક વિડીયો જાહેર કરી વિશાલ તેનો નાનપણનો મિત્ર છે અને ફોસલાવી તેની પાસેથી જુદ જુદ બહાના બનાવી રૂપિયા લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. રાજકોટના રહેવાસી વિનુભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, મારા દીકરા વિશાલએ વિજય મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસે એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા જેની અમને જાણ પણ ન હતી અચાનક તે એક ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે જે ચિઠ્ઠીમાં તેને લખ્યું છે કે હું ઘર છોડીને જાવ છું વ્યાજવાળા લોકો મને જીવવા નહિ દે. ભાઈ ભાભી બા બાપુ બધી પરિવારનું સંતાનોનું ધ્યાન રાખજો. મેં વિજય મકવાણા પાસેથી અને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા છે. વિજય મકવાણા પાસેથી એક કરોડ રૂપિયા લીધા સી જેની સામે 40% વ્યાજ વસુલતા હતા મેં એક કરોડ સામે 55 લાખ જેટલી રકમ પરત આપી દીધી હોવા છતાં વધુ 2.39 કરોડની માંગણી કરતા હતા. અને બાદમાં વ્યાજનું વ્યાજ અને મૂળ રકમ સહીત 10 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. અમારી પાસે આટલા રૂપિયા છે પણ નહિ તો અમે કેવી રીતે આપીએ દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વિજય મકવાણા અને ભાવેશ મકવાણા અમને હેરાન કરી રહ્યા છે. યુવાનના ભાઈ દિલીપભાઈ વીરડા કે જેઓ કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે જેમને ગત તારીખ 6 નવેમ્બર ના રોજ નોકરીથી પરત આવતા સમયે વાજડી ગામ નજીક અજાણ્યા શખ્સોએ અટકાવી વિશાલ ક્યાં છે ત જ તેને ગુમ કરી દીધો છે રૂપિયા તો આપવા જ પડશે અમે વિજયભાઈના માણસો છીએ કહી બાદમાં બેફામ માર માર્યો હતો જેના કારણે હાથ તથા પગમાં ઈજાઓ પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે હાલ સારવાર હેઠળ છે અને તેમણે પણ સમગ્ર મામલે પોલીસ વિજય મકવાણા અને અજાણ્યા માણસો સામે પોલીસ ફ્રિયા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજું બાજુ ભાવેશ મકવાણાએ વિડીયો જાહે કરી જણાવ્યું હતું કે હું એક સિંગર છું. વિશાલ વીરડા મારો નાનપણનો ખુબ સારો મિત્ર છે. મેં કોઈ પઠાણી ઉઘરાણી કરી નથી વિશાલ વીરડાએ મને જુદ જુદ બહાના આપી મારી પાસેથી અને માર મોટા ભાઈ વિજય મકવાણા પાસેથી રૂપિયા લીધેલા છે જે પરત આપ્યા નથી. મારા ઉપરાંત વિશાલએ અનેક લોકો પાસેથી રૂપિયા લીધેલા છે જેઓને પણ તેને પરત આપ્યા નથી. મારે વિશાલના પરિવાર સાથે કે દુશમની નથી અમારા વિરુદ્ધ કહો વ્યાજ ફરિયાદ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતો માટે ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનો છે.રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે આ નિર્ણય લીધો છે. આ પેકેજ અંતર્ગત, પિયત અને બિનપિયત બંને પાકોને સમાન નુકસાન વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે, જે મહત્તમ બે હેક્ટર સુધી મર્યાદિત રહેશે.આ નિર્ણય બાદ રાજ્યભરના ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ છે.બનાસકાંઠાના વાસણા-જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે, કમોસમી વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રીના આ ઐતિહાસિક નિર્ણય બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂત ચેહરાભાઈ પાંત્રોડે ઉમેર્યું કે, આ સહાયથી તેમના જેવા ખેડૂતોને મોટો ટેકો મળશે અને તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકશે. તેમણે પણ સરકારના આ નિર્ણયને ખેડૂતોના હિતમાં ઉત્તમ ગણાવ્યો.રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓ હળવી કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ નિર્ણય ખેડૂતો માટે આશાનું કિરણ બન્યો છે.
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા ભાવનગરની વિકાસ યોજના માટે વિચાર વિમર્શ કરાયું કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિ ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન 2041 કાર્યક્રમ ઇસ્કોન ક્લબ, જવેલર્સ સર્કલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર તથા ભાવનગરની આસપાસ આવનાર સમયમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલવાની છે. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005 માં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત આજે શહેરી વિકાસમાં સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. 20 વર્ષ બાદ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2025 ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર શહેર માટે ભાવિ વિકાસલક્ષી વિકાસકાર્યોને ધ્યાને લઈને વિચાર વિમર્શનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાવનગર સૌરાષ્ટ્ર પૂર્વનો વિસ્તાર ધોલેરા/અલંગ ઓથોરીટી, ઘોઘા, પીપાવાવ પોર્ટ વિગેરે સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં મેન્યુફેક્ચરીંગ, ફીશરીઝ, ઈમ્પોર્ટ એક્સપોર્ટની રીતે રોજગારીની અનેક તકો ઉભી કરી ઔધોગીક વિકાસ પામી રહી છે. રેલ્વે, ધોલેરા, ભાવનગર એરપોર્ટ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, સી લીંક હાઈવે, પોર્ટ વિગેરે વિવિધ ટ્રાન્સપોર્ટશનની રીતે સુવ્યવસ્થિત દેશ/દુનિયા સાથે સંકળાયેલા છે. આમ, ભવિષ્યમાં વિકાસની ઉજળી તકો જોતા સૌરાષ્ટ્ર પૂર્વમાં સુખ-સુવિધા, આરોગ્ય, શૈક્ષણિક, રોજગારી, સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન, કુદરતી રિ-સોર્સની જાળવણી, જરૂરી કુદરતી વોટરબોડી માટે આયોજન,ગીર નેશનલ પાર્કનું પ્રોટેક્શન, એક્સટેન્શન, કુદરતી ડીઝાસ્ટર વિગેરે અનેક પરિબળો ધ્યાને લઈ ભાવનગર શહેરનું સુ-આયોજન અત્યારથી કરવું ઘણું જરૂરી છે. સૌરાષ્ટ્ર પૂર્વ વિસ્તારમાં સ્થિત ભાવનગર ભારતની આઝાદીમાં સૌપ્રથમ યોગદાન આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા પોતાનું રાજ્ય ભારત માતાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરકાર દ્વારા બી.એમ.સી. બાડાના પ્લેટફોર્મથી ડી.પી./ ટી.પી. ની રીતે આયોજનબદ્ધ જાહેર સુવિધાઓ તમામ નાગરિકોને મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વર્ષ-2025 નું વર્ષ 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ગુજરાત સરકાર દ્વારા ઉજવી સમગ્ર ભારતમાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર રહી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ(બાડા) દ્વારા સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત રાજ્ય, ભારત દેશના વિકાસ લક્ષી આયોજનો/સંભાવનાઓ ધ્યાને લઇ આ વિસ્તારમાં ભાવનગર શહેર તમામ રીતે સક્ષમ રહે તે માટે ભાવનગર શહેર માટે થર્ડ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા જઈ રહી છે. જેમાં તજજ્ઞઓ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ડૉ.એન.કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ સહિત શહેરના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડે આપી એક્ઝામની અપડેટ
GUJCET 2026 Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારાGUJCET2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે.GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.
BREAKING: ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત બોર્ડે કર્યું જાહેર
Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ટાઈમ ટેબલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે 9 નવેમ્બર, 2025ના રોજ રબારી સમાજનું સ્નેહ મિલન યોજાશે. આ કાર્યક્રમમાં પાંચાળ પ્રદેશના 152 ગામોમાંથી રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ સ્નેહ મિલન સમાજના કુરિવાજો, સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર અને રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત કરાયું છે. કાર્યક્રમ દરમિયાન સમાજના અનેક રિવાજો અને પ્રથાઓ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ખાસ કરીને, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સોનાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને સમાજ માટે યોગ્ય નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવશે.આ કાર્યક્રમમાં રબારી સમાજના સંતો અને મહંતો પણ હાજર રહી મહત્વના નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે.
રાજ્યના DST (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) ડિપાર્ટમેન્ટમાં ટેક્નિકલ અનુભવોને અવગણીને જૂનિયર અધિકારીઓને ચાર્જ અપાયો છે. જેનાથી વિભાગમાં આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. અગાઉ પણ બદલીનો વિવાદ થયો હતો. કેટલાક ઉચ્ચ અધિકારીઓને સૂચનો ના પસંદ પડ્યા તો બદલી!વિભાગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની હાલની કામગીરી ધીમી પડી ગઈ છે. અનુભવી અને ટેક્નિકલ દૃષ્ટિએ સક્ષમ અધિકારીઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ભૌમિક બારોટ, જેમણે રાજ્યના ડેટા સેન્ટર, ઈ-ગવર્નન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સિટિઝન સેન્ટ્રિક પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમને કોઈ સ્પષ્ટ કારણ વગર તમામ જવાબદારીઓમાંથી એક મહિના પહેલાં દૂર કરવામાં આવ્યા હતાં. બારોટે ગુજરાત ડેટા સેન્ટર માટે ટેક્નિકલ રિપોર્ટમાં સુધારાના સૂચન આપ્યા હતાં, જે કેટલાક ઉચ્ચ અધિકારીઓને નાપસંદ પડ્યા હતાં. હવે તેમની જગ્યાએ ઓછા અનુભવ ધરાવતા અધિકારીઓને ટેક્નિકલ કામગીરી સોંપાઈ છે. આ પણ વાંચો:DSTના ઓફિસરે બદલીના ત્રણ મહિના પછી પણ ચાર્જ ન છોડ્યો:હવે ફરીથી ઓર્ડર રિવર્ટ કર્યો, તેની જગ્યાએ મુકેલા મહિલા અધિકારી ચાર્જ લેવા આવ્યા તો કહ્યું, તમારી જરૂર નથી, પછી આવજો આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યાજીઆઈએલ (GIL) અને જીઆઈએસએલ (GISL)માં સતત થઈ રહેલી આડેધડ બદલીઓએ વિભાગની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. GPU ટેન્ડર, AI ઈનોવેશન ચેલેન્જ અને ડિજિટલ ગુજરાત 2.0 જેવા મોટા પ્રોજેક્ટ્સ હાલ અટવાયેલા છે. ટેક્નિકલ અનુભવોને અવગણીને જૂનિયર અધિકારીઓને ચાર્જમોના ખંધારના સમયમાં જે રીતે ઝડપથી ડિજિટલ પહેલો આગળ ધપાવવામાં આવતી હતી, તે હવે ધીમી ગતિએ ચાલી રહી છે. ટેક્નિકલ અનુભવી અધિકારીઓને બદલે વહીવટી પૃષ્ઠભૂમિવાળા અધિકારીઓને ચાર્જ આપવાના કારણે વિભાગની કામગીરી અને ટેક્નિકલ દિશા બંને પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.26 ફેબ્રુઆરી 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે.આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો, તેના પર જઈને વધુ વિગત મેળવી શકાશે.
ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રથમ દિવસે ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે. બ્રિટિશ હાઈ કમિશને પણ આમંત્રણ સ્વીકાર્યું3 દિવસના કાર્યક્રમમાં સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બ્રિટિશ હાઈ કમિશને પણ આમંત્રણ સ્વીકાર્યું છે. વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો યોજાશેત્રણ દિવસ દરમિયાન વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો યોજાશે. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ સહિતના નેતાઓના સંઘ સાથેના સંબંધ રહ્યા તેના ડોક્યુમેન્ટ પણ પ્રદર્શનીમાં બતાવવામાં આવશે. આ ઉપરાંત સંઘ માટેનો મલ્ટીમીડિયા શૉ યોજાશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક માતર ગામ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલા એક ટ્રેલરે રોડ સાઈડ રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર પર કામ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બેથી વધુ લોકોને ઈજા થઈ હતી.ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ હવે અઠવાડિયાના સાતેય દિવસ ઓપરેટ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત સુરત-બેંગકોક-સુરત ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2025થી દૈનિક બનશે. અગાઉ આ ફ્લાઇટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ચાલતી હતી, પરંતુ ફ્લાઇટમાં હંમેશા 90 ટકાથી વધુ પેસેન્જર લોડ રહેતો હોવાથી આ માંગને પહોંચી વળવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણય સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે મજબૂત સ્થાન અપાવશે અને પ્રવાસીઓ તેમજ વેપારીઓ માટે નવી તકોના દ્વાર ખોલશે. બેંગકોક જેવા પૂર્વીય એશિયાના મહત્ત્વપૂર્ણ સ્થળ સાથેની દૈનિક કનેક્ટિવિટી સુરતને વૈશ્વિક બજારો સાથે વધુ અસરકારક રીતે જોડશે. દિલ્હી-સુરત ફ્લાઇટ પણ હવે દૈનિક બનશેબેંગકોકની દૈનિક ફ્લાઇટ સાથે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે, સવારે 05:30 કલાકે દિલ્હીથી ઉપડતી દિલ્હી-સુરત ફ્લાઇટ પણ અગાઉ અઠવાડિયામાં 4 દિવસ ચાલતી હતી, તે હવે દૈનિક બનશે. આના પરિણામે એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હી વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યા 22થી વધીને 28 થઈ જશે. દૈનિક સેવા સુરતની વૈશ્વિક ઓળખને નવો આયામ આપશેઆ ફેરફાર સુરતના પ્રવાસન અને વેપાર ક્ષેત્ર માટે ખૂબ જ ઉત્સાહજનક છે. ઊંચા પેસેન્જર ટ્રાફિકનો દર એ સ્પષ્ટ સંકેત આપે છે કે સુરત એરપોર્ટ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ દૈનિક સેવા સુરતની વૈશ્વિક ઓળખને નવો આયામ આપશે.
ગોધરા ફાસ્ટ ટ્રેક સેશન્સ કોર્ટે વર્ષ 2003માં અપાયેલા ચુકાદામાં નિર્દોષ છૂટેલા ત્રણ વ્યક્તિઓ જગદીશ ત્રિવેદી, રમેશ ડામોર અને મોહન પંચાલ સામે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ નકારીને ત્રણેય વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. 2002માં ખાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મામલોકેસને વિગતે જોતા વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ફરિયાદી આરજુબેન શેખે ખાનપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ જે ગામમાં રહેતા હતા તે ગામના ભરવાડ સમાજ દ્વારા મુસ્લિમોને જાણ કરાઈ હતી કે તેમની ઉપર હુમલો થવાની શક્યતા છે. તેથી તેઓએ પોતાના સગાઓ સાથે ગામ છોડીને સુરક્ષિત સ્થળે જતા રહેવું જોઈએ. આથી ફરિયાદી પોતાના પરિવાર અને ગામના 30 થી 35 પરિવારો કરાતાં ગામ જવા નીકળ્યા હતા. જેમાં એક ટેમ્પોમાં 40 જેટલા લઘુમતી સમુદાયના લોકો હતા. ટેમ્પો જ્યારે કરાંતા જતા લીંબડીયા ચાર રસ્તાથી ડાબી તરફ વળ્યો, ત્યારે તે તૂટી ગયો હતો. આ દરમિયાન 100 જેટલા લોકોનું ટોળું મારો કાપો કરતું ટેમ્પો ઉપર હુમલો કરવા આવ્યું હતું. જેથી ટેમ્પોમાંથી બધા કૂદીને દોડવા લાગ્યા હતા. જેમાંથી ચારથી પાંચ લોકો ફરિયાદી મહિલાની પાછળ પણ પડ્યા જેઓએ ફરિયાદીને હાથમાં તલવારોના ઘા માર્યા હતા. ફરિયાદી મહિલા રોડની એક બાજુમાં કેબિનની પાછળ મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરતાં પડ્યા રહ્યા. ત્યારે તેમને સાંભળ્યું કે ટોળામાંથી એક જણે કહ્યું કે, ટેમ્પો ઉપર કેરોસીન નાખીને તેને સળગાવી નાખો અને તે પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસ ફરિયાદીને ઊભા કરીને લુણાવાડા ખાતે હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ બાદમાં ખાનપુર પોલીસ મથકે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી. જ્યારે ભાગેડુ આરોપીઓ સામે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં બે કેસ નંબર પડ્યા હતા. જેના નામ આપ્યા તેને આરોપી ન બનાવાયાની પીડિતની રજૂઆત હતીહાઇકોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે ઉપરોક્ત સમયગાળામાં બે અલગ અલગ ઘટનાઓ બની હતી. જે બંનેને એક સાથે નોંધવામાં આવી છે. પરંતુ ખરેખરમાં બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવાની જરૂર હતી. બંનેના સાહેદ અને પીડિતો પણ અલગ અલગ છે. આથી હાઇકોર્ટે કોઈ સિનિયર ઓફિસરને આ કેસમાં ફરીથી તપાસના આદેશ આપવા જોઈએ. કોર્ટે પોતાના ચુકાદામાં તપાસમાં રહેલી ખામીઓ અને પીડિતોના આક્ષેપો અંગે નોંધ કરી છે. તેમજ સિનિયર ઓફિસરને તપાસ સોંપવા અંગે સલાહ આપી છે. પીડિતાએ કહ્યું કે તેઓએ જે જેના નામ આપ્યા તે વ્યક્તિઓને આરોપી બનાવાયા નથી. પોલીસે પંચનામામા જે વ્યક્તિઓ પાસેથી હથિયાર મેળવ્યા છે, તેમનું નામ આરોપીઓમાં નથી. કેસમાં 65 પુરાવા અને 15 સાહેદ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી પોતે ઘાયલ અને આંખો દેખ્યા સાક્ષી હતા. તેણે આરોપીના નામ આપ્યા છે. વળી આરોપીઓ એક લઘુમતી સાહેદને ત્યાંથી જ કેરોસીન લઈને ગયા હતા. બે મૃતકોને ધારિયા મારતા ફરિયાદીના પતિએ સંતાઈને જોયા છે. કેટલાક સાહેદો તપાસાયા નથી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું પણ કર્યું હતું. જેથી ફરી તપાસ કરાય અને ફરી ટ્રાયલ કરવામાં આવે. એક સાહેદે કહ્યું હતું કે ટોળામાં જગદીશ ત્રિવેદી, મોહન અને રમેશ ડામોર નહોતા. રમેશભાઈ ટ્રેક્ટરમાં કેરોસીન લઈને ગયા તે ઘર સળગાવ્યાનો બનાવ અને લીંબડીયા આગળ ટેમ્પો સળગાવવાનો બનાવ અલગ અલગ છે. એક સાહેદે કહ્યું કે, 500 થી 700 નું ટોળું ટેમ્પા બાજુ આવ્યું હતું. એકે કહ્યું કે 150 થી 200 નું ટોળાએ ઘરને આગ લગાડી હતી. મોહસીને કહ્યું હતું કે, સોથી 200થી 300 ના ટોળાએ તેના પિતા અને માતાને મારી નાખ્યા. તેમની પાસે પેટ્રોલ અને તલવાર જેવા ઘાતક હથિયારો હતા. ત્યારે તેને ત્રણ જ વ્યક્તિઓને ઓળખી બતાવ્યા હતા. યુનુસ કહ્યું હતું કે તેના ઘરે 150 થી 200 ના ટોળાએ આગ લગાવી હતી. ઘટના સ્થળે 8 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા. કેસ શંકા્રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ- કોર્ટકોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. કેસ શંકા રહિત પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડતા ત્રણ નિર્દોષ છૂટેલા આરોપીઓને શંકાનો લાભ અપાયો છે. જ્યાં મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે. ફરિયાદીએ ફરિયાદ અને તપાસના સ્થળે નહીં પરંતુ ટ્રાયલ સમયે આરોપીઓના નામ આપ્યા છે. વળી ફરિયાદીએ પ્રોસિક્યુશનાના કેસને સપોર્ટ કર્યો નથી. તેને કોઈ આરોપીનું નામ આપ્યું નથી. ફરિયાદીના પતિએ બીજા આરોપીઓના નામ આપ્યા છે. આ કેસમાં જે ત્રણ લોકોને છૂટ્યા છે, તેના નામ આપ્યા નથી. હાઇકોર્ટે શંકાથી રહિત કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા અને સાહેદોના હોસ્ટાઇલ થવાને લઈને રાજ્યની અપીલ નકારી નાખી હતી અને ગોધરા ફાસ્ટટ્રેક કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ આજે પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ઉજવાયો હતો. આ નિમિત્તે આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજા વિધિપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અડવાણીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાદેવ સમક્ષ અડવાણીના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના સભ્યો અને કર્મચારીઓની હાજરીમાં આયુષ્ય મંત્ર જાપનો કાર્યક્રમ યોજાયો હતો. મહાદેવને આ દિવસે વિશેષ શૃંગાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ માટે દીપમાલા પ્રજ્વલિત કરીને દેવી-દેવાધિદેવની આરાધના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટના પરિવારજનોએ લાલકૃષ્ણ અડવાણી પ્રત્યે કૃતજ્ઞતા, શુભકામનાઓ અને આશીર્વાદના સંદેશા વ્યક્ત કર્યા હતા.
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતે વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજની ઓળખ અને બહાદુરીના પ્રતિક છે, જેમના સન્માનમાં ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે આદિવાસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાત જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્યગુજરાત ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે ખાસ આદિવાસી સમુદાયો માટે મોટા પાયે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાત બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (GBRC)ના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોના આનુવંશિક બંધારણનો અભ્યાસ કરીને રોગના પરીક્ષણ, સારવાર અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે કે, જીનોમ ઈન્ડિયા પહેલ હેઠળ કાર્યરત આ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આદિવાસી સમુદાયોમાં આનુવંશિક વિકૃતિઓ કેમ વધી રહી છે, જે ઘણીવાર અંતર્વિવાહ અને મર્યાદિત આનુવંશિક વિવિધતાને કારણે થાય છે. 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરાશેગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસરગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત ત્રણ જીનોમ સિક્વન્સિંગ મશીનનો સમાવેશ થાય છે, જે એક સમયે 5,000-10,000 બેઝ પેઅર (મૂળ જોડી)નું વિશ્લેષણ કરી શકે છે, જે વૈજ્ઞાનિકોને જટિલ આનુવંશિક ફેરફારો શોધવામાં મદદ કરે છે. આ મશીનોનો ઉપયોગ પહેલાં કોવિડ-19 દરમિયાન કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ વ્યાપક જીનોમિક સંશોધન માટે થાય છે. બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકેગુજરાતમાં દરેક સિક્વન્સિંગ બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકે છે, જેના પરિણામો 48-72 કલાકમાં તૈયાર થઈ જાય છે. સ્થાનિક સુવિધાઓ વધારીને અને ખર્ચનું સંચાલન કરીને, GBRCએ દરેક સેમ્પલની કિંમત ₹85,000 થી ઘટાડીને લગભગ ₹60,000 કરી છે. આ સંશોધન ડૉક્ટરોને સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર આપવામાં અને આધુનિક જીનોમ વિજ્ઞાનથી આદિવાસી સમુદાયોને લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. જીનોમ સિક્વન્સિંગ અને આદિવાસી સમુદાય માટે તેનું મહત્વશરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવામાં આવે છે. કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચના ને સમજવા માટે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. આ જીનોમમાં થતા ફેરફારો વિશે જણાવે છે. ગુજરાતની આદિવાસી વસ્તી લાંબા સમયથી થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા જેવી આનુવંશિક બીમારીઓનો સામનો કરી રહી છે. અમુક આનુંવાન્શિક બીમારીઓ છેલ્લા સ્ટેજ સુધી પણ શોધી નથી શકાતી અને સારવાર વધુ જટિલ બની જાય છે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા, વૈજ્ઞાનિકો મ્યુટેશન (પરિવર્તનો)ને શોધી શકે છે, ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પેનલ બનાવી શકે છે અને IVF પ્રક્રિયાઓ દરમિયાન પ્રિનેટલ અથવા તો ગર્ભ-સ્તરનું પરીક્ષણ પણ કરી શકે છે. જીનોમ મૅપિંગ દ્વારા આદિવાસી સમુદાયનું સ્વાસ્થ્ય સુધારવાનો સંકલ્પઆ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોની સુખાકારી સુનિશ્ચિત કરીને વધુ સારી આરોગ્યલક્ષી યોજનાઓ બનાવવામાં મદદ કરશે. તે રોગનું નિદાન, કુપોષણ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ અને સિકલ સેલ એનિમિયા અને G6PDની ઉણપ જેવા આનુવંશિક વિકારોના વહેલા નિદાન માટે આનુવંશિક માહિતી પ્રદાન કરશે. તે આહાર, પોષણ અને રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કરવામાં, સારવારને વધુ અસરકારક બનાવવામાં અને સ્થાનિક આનુવંશિક ફેરફારોને ઓળખવામાં મદદરૂપ બનશે. સિકલ સેલ રોગને જીનોમ મૅપિંગ દ્વારા વહેલી તકી ઓળખી શકાશેઉદાહરણ તરીકે, જો માતા અને પિતા બંનેમાં બીટા-ગ્લોબિન જનીનની એક મ્યુટેટેડ કૉપી હોય (જેને વાહકો કહેવાય છે), તો 25% શક્યતા છે કે તેમના બાળકને બંને મ્યુટેટેડ કૉપી વારસામાં મળે અને તેને સિકલ સેલ રોગ થાય. જીનોમ મૅપિંગ દ્વારા આવા વાહકોને વહેલી તકે ઓળખી શકાય છે, જેથી રોગ વિશે વહેલી જાણ થાય અને એ માટે નિવારક પગલાં લઈ શકાય. આનાથી સમુદાયના આનુવંશિક લક્ષણો અનુસાર ડીએનએ પરીક્ષણો તૈયાર થઈ શકે છે. 'જીનોમ સિક્વન્સિંગ વ્યક્તિના બધા જનીનો ઓળખે છે'આ પરીક્ષણો ફક્ત જે-તે સમુદાયમાં સામાન્ય રીતે થતા જનીન ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેનો ખર્ચ ફક્ત ₹1,000–1,500 થાય છે. તેની સરખામણીમાં, સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વ્યક્તિના બધા જનીનો ઓળખે છે, જેમાં પ્રતિ નમૂના પાછળ લગભગ ₹1 લાખનો ખર્ચ થાય છે અને એક્ઝોમ સિક્વન્સિંગ ફક્ત જનીનોના કોડિંગ ભાગો વાંચે છે, જેમાં પ્રતિ નમૂના માટે લગભગ ₹18,000–20,000નો ખર્ચ થાય છે. આ રીતે સમુદાય-વિશિષ્ટ પરીક્ષણો વધુ વ્યવહારુ અને ઓછા ખર્ચાળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી - એકતાનગરના આંગણે ભારત પર્વ - 2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહભાગી બન્યા હતા. આ દિવસે રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બિહૂ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા - સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી હતી. ભારત પર્વમાં સહભાગી થયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આજે આપણે સૌ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છીએ, જેમણે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધીને “અખંડ ભારત”ના નિર્માણનું મહાન કાર્ય કર્યું હતું. આ મારું સૌભાગ્ય છે કે, સરદાર પટેલના સ્મારકસ્થળ એકતાનગર ખાતે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે. એકતાની ભાવના અને રાષ્ટ્રના આર્થિક-રાજકીય એકતાના પાયા સરદાર પટેલે જ નાખ્યા હતા. તેમની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે દેશ માટે સમર્પિત થયેલા તેમના જેવા યોગદાનકર્તાઓને યાદ કરવા એ સાચા અર્થમાં રાષ્ટ્રસેવાનો ઉત્સવ છે. યોગાનુયોગ “વંદે માતરમ”ની રચનાને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે, જે આપણા સૌને ગૌરવની અનુભૂતિ કરાવે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભારત દેશની સ્વતંત્રતા બાદ સરદાર પટેલનો દેશપ્રેમ અને તેમની રાષ્ટ્રનિર્માણની પ્રેરણા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે, જે આવનારી પેઢીઓને પણ તે દિશામાં પ્રેરિત કરે છે. ભારતની વિવિધતા એ જ તેની શક્તિ છે. “વિવિધતામાં એકતા” આપણું ગૌરવ છે. ભારત પર્વની ઉજવણી આપણને આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે, આપણાં સાંસ્કૃતિ-મૂલ્યોને સમજવા અને તેનું સન્માન કરવા માટે એક અદભુત મંચ પુરૂં પાડે છે. વધુમાં તેઓએ કહ્યું કે, આઝાદીના સમયે દેશ અનેક રજવાડાઓમાં વહેંચાયેલો હતો, ત્યારે સરદાર પટેલે પોતાની અદભૂત રાજકીય દુરદર્શિતાથી રાષ્ટ્રને એક કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદના નિઝામથી લઈને જૂનાગઢ સુધીના રજવાડાંના વિવાદોને તેમણે દૃઢતાપૂર્વક ઉકેલ્યા અને રાષ્ટ્રહિત માટે તેમણે કઠોર પરંતુ યોગ્ય પગલાં લીધા અને ભારતના એકીકરણનો ઇતિહાસ રચ્યો હતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના પ્રતીકરૂપે ઉભી છે. ભારતની એકતા, અખંડતા અને શક્તિમાં જ ભારતની વિશેષતા સમાયેલી છે. આપણે સૌએ તેમના સપનાનાં ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ નાગરિકો માટે “દેખો અપના દેશ”ના વિચારોને સાર્થક કરવા તેમજ પર્યટન-સંસ્કૃતિના આદાન પ્રદાન માટે રાષ્ટ્રીય એકીકરણની ભાવનાનો સંદેશો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં આ કાર્યક્રમ અદભૂત રીતે યોજાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત એકતાનગરના પ્રવાસન પ્રકલ્પો દેશ - વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે. ગુજરાતના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે, તેથી જ ગુજરાત ધાર્મિક પર્યટનમાં પણ પ્રવાસીઓને આકર્ષે છે. “લોકલ ફોર વોકલ”ના મંત્રને ચરિતાર્થ કરતું આ ભારત પર્વ સાચા અર્થમાં રાષ્ટ્રીય ગૌરવ સાથે ઘરેલું પર્યટનને પણ પ્રોત્સાહન આપે છે. ભારત પર્વમાં સહભાગી થવા પૂર્વે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ. ભજનલાલ શર્માએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. બાદમાં સરદાર સાહેબના જીવન - કવનની ઝાંખી પ્રસ્તુત કરતો પ્રોજેક્શન મેપિંગ (લેસર- શો) નિહાળ્યો હતો. ત્યારબાદ થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં રાજસ્થાનના પેવેલિયન(સ્ટોલ) ખાતે પહોંચી ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. ત્યાંથી સ્ટૂડિયો કિચન પહોંચી ખાસ કૂક દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ ચાખી તેમની રસોઈ બનાવટની પ્રસંશા કરી હતી. ગુજરાત પ્રવાસવ વિભાગ દ્વારા અહીં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. આ સમગ્ર મુલાકાત અને કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, જિલ્લા વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
હળમતીયા હનુમાન મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો:હવન, સુંદરકાંડ અને રામધૂન સાથે ભોજન પ્રસાદ પણ વિતરણ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી 3 કિલોમીટર દૂર આવેલા હળમતીયા હનુમાન મંદિરે કારતક વદ-3, શનિવારે ભવ્ય પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે હવન, સુંદરકાંડ, સામુહિક રામધૂન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરનું નામ ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળવાને કારણે પડ્યું હોવાનું મનાય છે. આજના પાટોત્સવ કાર્યક્રમમાં સવારે હવન, ત્યારબાદ સુંદરકાંડ પાઠ, અને પછી સામુહિક રામધૂનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર વિશેની લોકવાયકા અનુસાર, વર્ષો પહેલા ખેતરમાં હળ હાંકતી વખતે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેના કારણે આ સ્થળ 'હળમતીયા હનુમાન મંદિર' તરીકે ઓળખાય છે. આ મૂર્તિ 800થી 900 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. પાટડી-વિરમગામ રોડ પર આવેલા આ મંદિરે દર શનિવારે અને દર માસની પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. અરજણભાઈ ઠાકોર જેવા નિયમિત ભક્તો પાટડીથી પગપાળા દર્શન કરવા આવે છે, જે દર્શાવે છે કે આ મંદિર અનેક લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારી 'એકતા યાત્રા'ના આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠક મળી હતી. આ યાત્રા તા. 13થી 17 નવેમ્બર દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં યોજાશે.જિલ્લા કલેકટર કેતન ઠક્કરે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે, 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે આ ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું છે. વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે, જેમાંથી એક જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.પદયાત્રાનું આયોજન નીચે મુજબ છે: જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે. 'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, યાત્રાના રૂટ પર સખી મંડળના સ્ટોલ્સ, આરોગ્ય કેમ્પ, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા, યોગ અને આરોગ્ય શિબિરો યોજાશે. 'સરદાર@150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર@150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' પણ યોજાશે, જેના માટે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ આયોજનમાં મહત્તમ નાગરિકો ભાગ લે તે પ્રકારનું સુચારુ આયોજન કરવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, આગેવાન ડો. વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડે રાહદારીઓ અને વાહનચાલકો સહિત અંદાજે 30 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટના માધવાણી કોલેજથી એકતા ગ્રીનસિટી તરફ જતા રસ્તા પર સવારે 9 વાગ્યાથી સાંજ સુધી બની હતી, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓના ઓચિંતા હુમલાથી રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે દોડતા અને વાહનો છોડીને ભાગતા જોવા મળે છે. મધમાખીના ડંખને કારણે અનેક લોકોને દુખાવો થતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રસ્તા પર હજુ પણ મધમાખીઓ ક્યારેક હુમલો કરતી હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. પરિણામે, આ વિસ્તારમાં કર્ફ્યૂ જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે અને લોકો આ રસ્તા પરથી પસાર થવાનું ટાળી રહ્યા છે.
16 વર્ષથી નાસતા ફરતા ગેઝેટ પ્રસિદ્ધ આરોપી ઝડપાયો:પોરબંદર પોલીસે ચોરીના ગુનામાં કાર્યવાહી કરી
પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડે ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા અને ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુના સંદર્ભે કરવામાં આવી છે. આરોપી કેંદુ ઉર્ફે માનસીંગ નાકીયા અજનાર (ઉં.વ. 55) વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 457, 380, 114 મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. તે ત્યારથી ફરાર હતો અને તેને ગેઝેટ પ્રસિદ્ધ નાસતા ફરતા આરોપી જાહેર કરાયો હતો. ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી માનસીંગ કેંદુ નકૈયા (અજનાર), જે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ ઉદયગઢ તાલુકાના છોટી ઉતી ગામનો વતની છે, તે હાલ તેના વતનમાં જ છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને વધુ તપાસ માટે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની વિગતો આ મુજબ છે: કેંદુ ઉર્ફે માનસીંગ નાકીયા અજનાર (ઉં.વ. 55), રહે. છોટી ઉતી ગામ, તળવી ફળીયા, તા. જોબટ ઉદયગઢ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ. પેરોલ/ફર્લો સ્કોડની આ અસરકારક કામગીરીને કારણે વર્ષો જૂના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભુજ તાલુકાના દુર્ગમ બન્ની હોડકો ગામ નજીક 17માં પશુ મેળો યોજાયો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંઘઠન દ્વારા 17મા પશુ મેળામાં કચ્છના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ પોતાના પશુ સાથે મેળામાં ઉમટી પડ્યા છે. મેળા અંદર ગાય, ભેંસ, ઘોડા સહિતના મોટી સંખ્યામાં પશુઓની લે-વેચ કરવામાં આવી છે. જેમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામની ભેંસની જોડી રૂ.9.51 લાખમાં વેંચાઈ હતી. કચ્છના મોટા રણ નજીક સરહદી વિસ્તાર હોડકોના સિમ વિસ્તારમાં ધૂળ ની ડમરીઓ વચ્ચે સ્થાનિક કચ્છીમાંડુંઓ ભાતીગળ પહેરવેશમાં પશુ મેળો મહાલવા ઉમટી પડ્યા છે. પશુ ખરીદ માટે કચ્છ સિવાય અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના પ્રાંતમાંથી રસ ધરાવતા લોકો આવ્યા છે. પશુ મેળાની શરૂઆત જિલ્લાના સત્તાપક્ષના પદાધિકારી અને સંસ્થાના હોદ્દેદારો એ રીબીન કાપીને કરી હતી. આ વેળાએ કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ(ભુજ), પ્રદ્યુમન સિંહ જાડેજા(અબડાસા) તથા નીલકંઠ સોલ્ટના અરજણ સાધા કાનગડ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વ્યવસ્થા સંસ્થાના મિયા હુસેન મુતવા, રસીદ સમાં, ફકીરમામદ રાયશીપોત્રા, અબ્દુલ બુઢા જત, રમઝાન હાલેપોત્રા, જુમાં મીઠન થેબા વગેરેએ સંભાળી હતી. આ અંગે સંસ્થાના ઈસા મુતવા અને ઇમરાનખાન મુતવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અંતરિયાળ હોડકો નજીક આ પશુ મેળો યોજાય છે. આ આયોજન પાછળ સ્થાનિક બન્નીની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો તથા પશુ ની પ્રજાતી કાયમ રહે તેવા હેતુસર કરવામાં આવે છે.
આજે વડોદરા એરપોર્ટ પર વડોદરાની દીકરી વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ કિક્રેટર રાધા યાદવ આવી રહી છે તેઓના ભવ્ય સ્વાગત માટે આજે ભવ્ય રોડ શો યોજાશે. વડોદરા એરપોર્ટ પર રાધા યાદવ 8 વાગ્યે આવશે અને વડોદરા એરપોર્ટથી રોડ શો શરૂ થશે. વિમેન્સ વર્લ્ડકપ વિજેતા વડોદરાની દીકરીનું ભવ્ચ સ્વાગતઆ ભવ્ય રોડ શો નો રૂટ વડોદરા એરપોર્ટથી, એરપોર્ટ સર્કલ,મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર, અમિતનગર થઇને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે રોડ શો પૂર્ણ થશે. રાધા યાદવને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. પાંચ કિલો મીટરનો રોડ શોઆ ભવ્ય રોડ શોમાં વડોદરાના સાંસદ હેમાંગ જોષી, વડોદરા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રેલી માટે કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર, બંદીશભાઇ શાહ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય પાંચ કિલો મીટરના રોડ શોમાં વડોદરાની દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પાટણના પ્રહલાદભાઈ સોનીનું દેહદાન થયું:ધારપુર મેડિકલ કોલેજને અભ્યાસ માટે શરીર અર્પણ કરાયું
પાટણના શ્રેષ્ઠી અને ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોનીનું અવસાન થતાં તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત ધારપુર મેડિકલ કોલેજ ખાતે તેમના દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. પ્રહલાદભાઈના પરિવારે શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાનો સંપર્ક કર્યો હતો. ડો. સોમપુરાએ ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડો. બથીજા, આશીષભાઈ, ડો. વિરાજ અને સ્ટાફના સહયોગથી દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. આ પ્રસંગે પરિવારજનો, સમાજના અગ્રણીઓ, આર.એસ.એસ.ના હોદ્દેદારો અને વેપારી વર્ગ સહિત અનેક સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ટૂંકા સમયગાળામાં આ ત્રીજું દેહદાન કરવામાં આવ્યું છે. આ દેહ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મેડિકલ કોલેજને અર્પણ કરાયો છે. સ્વ. પ્રહલાદભાઈ સોનીએ આદર્શ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમણે પાટણમાં અંબિકા જ્વેલર્સની સ્થાપના કરી સોની બજારમાં નામના મેળવી હતી. તેમણે સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી અને સોની સમાજ છાત્રાલય, સોની સાંસ્કૃતિક ભવન, રામજી મંદિર જેવા નિર્માણ કાર્યોમાં યોગદાન આપ્યું હતું. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક કથાઓ, સત્સંગ મંડળ, બ્રહ્માકુમારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સિનિયર સિટીઝન ક્લબ જેવી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના ચક્ષુદાન અને દેહદાન દ્વારા તેમણે સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂ. 11.26 લાખની કિંમતની 4704 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકને સાઈડમાં લઈ તેની સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ટ્રકના પાછળના ભાગમાં જૂના અને ફાટી ગયેલા કોથળાઓ ભરેલા જોવા મળ્યા હતા. પોલીસે આ કોથળાઓ હટાવીને જોતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 4704 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 11,26,725 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 19,46,725 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક પ્રકાશબાબુરામ (રહે. રામપુરા, જોધપુર) ની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ એલ.સી.બી.એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી ₹12,88,960નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના નિર્દેશોના આધારે કરવામાં આવી હતી. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે DL.8.CAM.8982 નંબરની ક્રેટા ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1200 બોટલો/ટીન મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કિંમત ₹2,58,960 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત, ₹10,00,000ની કિંમતની ક્રેટા ગાડી (નંબર DL.8.CAM.8982) અને ₹30,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹12,88,960 થાય છે. આ કેસમાં પોલીસે મહેન્દ્રસિંહ તનસિંગ વેણીદાન રતુ (ચારણ) નામના ઇસમને ઝડપી પાડ્યો છે. તે લાલપુરા, થાના. દેચુ, તા. શેરગઢ, જી. જોધપુર, જી. બાડમેર (રાજસ્થાન)નો રહેવાસી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ભવાનીસિંહ (જોધપુર), રામ બિશ્નોઇ (વીરાવા) અને મહેશભાઇ માતમભાઇ ભરવાડ (છાણીયાથર) સહિત કુલ ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રગૌરવના પ્રતીક 'વંદે માતરમ' ગાનને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સમૂહગાન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં પણ અનેક સ્થળોએ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. પોરબંદર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, મહામંત્રી અશોક મોઢા અને ખીમજી મોતીવરસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, મહામંત્રી નીલેશ બાપોદરા અને નરેન્દ્ર કાણકિયા પણ હાજર રહ્યા હતા. વરિષ્ઠ આગેવાનો રાજશીભાઇ પરમાર અને રામદેવ મોઢવાડિયા, મહિલા મોરચા પ્રમુખ મીતા થાનકી, યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દિનેશ ચુડાસમા અને સિનિયર અગ્રણી કેતનભાઈ દાણી સહિત મોટી સંખ્યામાં પૂર્વ કાઉન્સિલરો, પંચાયત સભ્યો અને ભાજપ કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે દીપક જુંગી સેવા આપી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય ઉપરાંત, પોરબંદર શહેર અને જિલ્લામાં અન્ય સ્થળોએ પણ 'વંદે માતરમ' સમૂહગાનના કાર્યક્રમો યોજાયા હતા. શ્રી વી. જે. મોઢા કોલેજ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરી, પોરબંદર ખાતે લીરી ખૂંટી અને પ્રતાપ કેશવાલા હાજર રહ્યા હતા. APMC માર્કેટિંગ યાર્ડ, પોરબંદરમાં ચેરમેન લખમણ ઓડેદરા અને ચંદ્રેશભાઈ સામાણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. કુતિયાણામાં સુદામા ડેરી ખાતે કુતિયાણા શહેર ભાજપ પ્રમુખ માલદેભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ લીલા રાવલીયા, દિલીપ ખૂંટી અને કિરીટ બાપોદરા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત, કુતિયાણા ખાતે જીવતી પરમાર અને તાલુકા પંચાયત, રાણાવાવ ખાતે મંજુબેન બાપોદરાની આગેવાની હેઠળ કાર્યક્રમો સંપન્ન થયા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની પ્રથમ બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નવા યુનિવર્સિટી એક્ટ હેઠળ આ પ્રથમ બેઠકમાં આગામી જાન્યુઆરી માસમાં યુનિવર્સિટી યુવક મહોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વિદ્યાર્થીઓ માટેની વિવિધ ઇવેન્ટ્સ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એક મહત્વના નિર્ણય મુજબ, આગામી 8, 9 અને 10 જાન્યુઆરી, 2026 દરમિયાન યુનિવર્સિટી ખાતે યુથ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરાયું છે. વિદ્યાર્થીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે એડવેન્ચર, ટ્રેકિંગ અને પર્વતારોહણ શરૂ કરવાના ભાગરૂપે આ વર્ષથી છોકરા અને છોકરીઓ માટે બે-બે બેઝિક કેમ્પનું આયોજન કરવામાં આવશે. જે કોલેજોએ કલ્ચરલ ફી ભરી ન હોય, તે કોલેજો બાકીની ફી ભરીને આ કેમ્પમાં ભાગ લઈ શકશે. યુનિવર્સિટી દ્વારા 13 કોલેજોને શિબિરો ફાળવવામાં આવશે. આ શિબિરો 'સ્વનિર્ભર અને સ્વાવલંબન ભારત' થીમ પર આધારિત હશે, જેના માટે કોલેજો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન તમામ છ જિલ્લાઓમાં દરેક જિલ્લામાં એક-એક શિબિર યોજાશે. આ ઉપરાંત, યુવાનોમાં સ્વાભિમાન, સમરસતા, પર્યાવરણ અને કુટુંબ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે શેરી નાટકોના માધ્યમથી સમાજ જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. યુનિવર્સિટી શેરી નાટકો અંગે તાલીમ આપશે, અને તાલીમ પામેલી ટીમો કોલેજોમાં નવી ટીમો તૈયાર કરીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો રજૂ કરશે. યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ શિબિરો ઉપરાંત, વર્ષમાં ત્રણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ વ્યાખ્યાનમાળામાં યુવાનોને પ્રેરણા આપી શકે તેવા મોટીવેશનલ સ્પીકરોને આમંત્રિત કરીને તેમને નવી દિશા અને જોમ આપવાનો પ્રયાસ કરાશે. યુનિવર્સિટીની આ પ્રથમ બોર્ડ ઓફ સ્ટુડન્ટ ડેવલપમેન્ટની બેઠકમાં કુલપતિ ડો. કે.સી. પોરીયા, કમિટીના મેમ્બર સેક્રેટરી, યુનિવર્સિટી કોઓર્ડીનેટર અને નોમિનેટેડ ચાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જનતાનગર ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જાગૃત અંબાજી માતાના મંદિર પરિસરમાં યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 199મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો, જેનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ પૂજ્ય તારાબાની યાદમાં કીર્તિ કિરીટ શાહ, રાજુલા, ક્રિષ્ના અને ઈશાના સહયોગથી યોજાયો હતો.રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્વપ્નિલ, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યોએ વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન જગદીશ પિલુચિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ:વીર નર્મદ યુનિવર્સિટીમાં રાષ્ટ્રભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ
ભારતના રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ગણાતા વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 07/11/2025 ના રોજ સવારે 9:30 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજારોહણ અને વંદે માતરમ ના ગાન સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રમેશદાન ગઢવી સહિત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના વડાઓ, અધ્યાપકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશાળ માનવ શૃંખલા રચી વંદે માતરમ ગીત પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. બંકિમચંદ્ર ચટર્જી દ્વારા 1875 માં રચાયેલું વંદે માતરમ ગીત રાષ્ટ્રપ્રેમ, એકતા અને માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભાવનાનું પ્રતિબિંબ છે.કાર્યક્રમના અંતે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર - 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર - 3 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 115 કેન્દ્રો પરથી UG સેમ.5 અને PG સેમ.3 ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. આ પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનીટરીંગ થકી ગેરરીતિ અટકાવી શકાશે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, તા.11 નવેમ્બરથી દિવાળી વેકેશન બાદની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં બીએ સેમેસ્ટર - 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીકોમ સેમેસ્ટર - 5 રેગ્યુલરમાં 11980 તો એક્સટર્નલમાં 385 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત સેમેસ્ટર - 5 માં બીસીએમાં 6110, બીબીએમાં 3022 અને એલએલબીમાં 2290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જ એમકોમ સેમેસ્ટર - 3 રેગ્યુલરમાં 1675 અને એક્સ્ટર્નલમાં 1680 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. કુલ 37 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 115 પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી અને સુપરવાઇઝર સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ન ઝડપાય.
મોરબીમાં બાળકના ઝઘડામાં યુવાન પર છરી હુમલો:બીજી વખત જીવતો નહીં મૂકીએ ધમકી આપનાર ચાર ઝડપાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં બાળકના સામાન્ય ઝઘડાને કારણે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથા અને પડખાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલા બાદ આરોપીઓએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી મહમદઅમીન ગુલમહમદ કટિયા (38)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.5ના રોજ તેમની દીકરી તાહીરાબાનુએ જણાવ્યું હતું કે મીરમહમદની દીકરી આઈસા તેની સાથે ગાળાગાળી કરી રહી હતી. આ બાબતે ફરિયાદીએ પોતાની દીકરીને ઝઘડો ન કરવા સમજાવી હતી. ત્યારબાદ મીરમહમદનો નાનો દીકરો રેહાન ફરિયાદીના ઘર પાસે આવીને તોફાન કરતો હતો અને જેમ ફાવે તેમ બોલતો હતો. આ જોઈને ફરિયાદીના પિતા ગુલમહમદ કટિયા અને નાનો ભાઈ અલ્તાફ મીરમહમદના ઘરે રેહાનના તોફાન બાબતે સમજાવવા ગયા હતા. તેઓને પરત આવવામાં વાર લાગતા મહમદઅમીન પણ મીરમહમદના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મીરમહમદ અને તેનો દીકરો યુનુસ જોર જોરથી ગાળો બોલી રહ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ મહમદઅમીનને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને બચાવવા પિતા અને ભાઈ વચ્ચે પડ્યા ત્યારે મીરમહમદના પત્ની નસીમબેન અને દીકરા શાહીદે પણ ગાળો બોલી હતી. આ દરમિયાન યુનુસે પોતાની પાસે રહેલી છરી વડે મહમદઅમીનભાઇના માથાના ભાગે અને ડાબી બાજુ પડખાના ભાગે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. હુમલા બાદ આરોપીઓએ મહમદઅમીનભાઇને આજે તું બચી ગયો છો, બીજી વખત જીવતો નહીં મૂકીએ, ઠામ પતાવી દેશું તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે મહમદઅમીનની ફરિયાદના આધારે મીરમહમદ ઉર્ફે ડાડો કટિયા, નસીમબેન મીર મીરમહમદ કટિયા, યુનુસ મીરમહમદ કટિયા અને શાહિદ મીરમહમદ કટિયા વિરુદ્ધ ગુનો નોંધી, તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના ચોથા ધોરણના વિદ્યાર્થી હિતાંશ ત્રિવેદીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન, બન્યો 'IBR Achiever' પોર્ટુગલ, સર્બિયા અને તુર્કીમાં ગોલ્ડ મેડલ વિજેતા હિતાંશ ત્રિવેદીના ચિત્રોનું ભાવનગરમાં પ્રદર્શન માત્ર નવ વર્ષના અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદીએ એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ત્રિદિવસીય પ્રદર્શન શહેરના સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે મહાનુભાવો ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, “મારી રંગોની દુનિયા” શીર્ષક અંતર્ગત માત્ર નવ વર્ષનો અને સ્વામિનારાયણ પ્રાથમિક શાળા સરદારનગરમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદીએ પોતાની કલ્પનાની અનોખી દુનિયા બતાવી છે, ખાસ કરીને હિમાંશુ ત્રિવેદી દ્વારા બનાવેલા ચિત્રો અને કૃતિઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી છે, સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિતાંશ માનસી ત્રિવેદી 9 વર્ષની નાની ઉંમરે અદ્દભુત સિદ્ધિ હાંસલ કરી છે. India Book of Records દ્વારા તેમને “IBR Achiever” તરીકે માન્યતા અપાઈ છે. હિતાંશે વર્ષ 2022 થી 2025 દરમિયાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રોઇંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 5 એવોર્ડ્સ, 4 Honourable Mention Certificates અને 6 Participation Certificates પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ ધારક તરીકે માન્યતા મળી હતી, જે શાળા અને પરિવાર માટે ગૌરવ લાવે છે, માનસી ત્રિવેદી હિતાંશ ત્રિવેદીની મમ્મીએ જણાવ્યું હતુંબકે, હિતાંશે અઢી વર્ષનો હતો ત્યારથી એક સપનું જોયું હતું કે હું મોટો થઈશ એટલે હું આર્ટિસ્ટ બનીશ. હવે એ સપનાને ધીરે ધીરે મોટિવેશન મળ્યું, એમ એમ એણે પાંચ વર્ષથી એને થોડી થોડી ટ્રેનિંગ લેવાની ચાલુ કરી અને આજે એ આ સ્તર સુધી પહોંચી ગયો છે કે જેમાં એને ઇન્ટરનેશનલ, નેશનલ, અને રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે. અને એ એટલો આગળ વધી ગયો છે કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એનું નામ લેવામાં આવ્યું છે. અત્યારે એ IBR એચીવર તરીકે અત્યારે ઓળખાય છે. તેણે પોર્ટુગલ, સર્બિયા, તુર્કીમાં એને ગોલ્ડ મેડલ મળેલો છે પોર્ટુગલમાં એને સિલ્વર ક્લાસ આવેલો છે. સર્બિયામાં એ ઓલ ઓવર વર્લ્ડમાં ફર્સ્ટ આવ્યો હતો, એ પછી એણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરી અને આજે એની જે આ પેઇન્ટિંગ્સ છે, જે લોકોને કલાપ્રેમીઓએ બધાને હું આવકારું છું અને આવો જુઓ અને તમારા બાળકોને પણ અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ પ્રેરણા પૂરી પાડો કે જેથીએ આગળ વધી શકે. આ પ્રદર્શન તા.8, 9 અને 10 શનિ-રવિ-સોમવાર એમ ત્રણ દિવસ માટે સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સરદારનગર સ્થિત ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું રહેશે, મારી રંગોની દુનિયા શીર્ષક હેઠળ, હિમાંશુ ત્રિવેદીએ પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા કલાની એક અનોખી દુનિયા બનાવી છે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિભાગના આચાર્ય ધર્મભાઈ પટેલ, ચિત્રકાર રાજનભાઈ શાહ, આંતરરાષ્ટ્રીય બાળ ચિત્રકલાના જાણકાર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, કોર્પોરેટર હીરાબેન એચ. વિંઝુડા, ક્લાપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લખપતિ બનાવવાની લાલચ આપવી સાયબર ગઠિયાઓને ભારે પડી છે. HYFIN Markets Ltd નામની બોગસ ફોરેક્ષ ટ્રેડિંગ કંપનીમાં વાર્ષિક 70%ના ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાઓએ સિનિયર સિટીઝન પાસેથી તેમની જિંદગીભરની કમાણીના રૂ. 29,06,283 પડાવી લીધી હતી. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે નવી મુંબઈ ખાતે ધમધમતા એક કોલ સેન્ટર પર દરોડો પાડી તેના મેનેજરની ધરપકડ કરી છે. આ ગેંગ માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરમાંથી લોકો પાસેથી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ચૂકી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પહેલા પૈસા પરત આપી, પછી જિંદગીભરની કમાણી લૂંટીઆ કેસની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી છે. ગઠિયાઓએ પહેલા ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે એક આખીયે યોજના ઘડી હતી. ઓક્ટોબર 2024માં ભોગ બનનાર સિનિયર સિટીઝનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ HYFIN Markets Ltd ના પ્રતિનિધિ તરીકે આપી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર વાર્ષિક 70 ટકા જેટલું માતબર વળતર મળશે તેવી લાલચ આપી હતી. પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગીશરૂઆતમાં, ફરિયાદીએ શંકા સાથે માત્ર 3 લાખ રૂપિયાનું નાનું રોકાણ કર્યું. ગઠિયાઓએ તેમને એક પોર્ટલનું લોગ-ઇન આઇડી અને પાસવર્ડ પણ આપ્યું, જ્યાં તેમના પૈસાનું રોકાણ અને નફો થતો દેખાતું હતું. થોડા જ દિવસોમાં, પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદીને લાલચ જાગી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમણે પહેલા પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગઠિયાઓની જાળ અહીં જ હતી. પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યોતેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તરત જ તેમના પૈસા પરત આપી દીધા. આ એક જ ઘટનાએ સિનિયર સિટીઝનનો તમામ શક દૂર કરી દીધો અને તેમને ખાતરી થઈ ગઈ કે આ કંપની અસલી છે. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી, તેમણે જાન્યુઆરી 2025માં પોતાની જિંદગીભરની જમાપૂંજી કુલ રૂ. 29,06,283 અલગ-અલગ બેંક ખાતાઓમાં અને રોકડ મારફતે જમા કરાવી દીધા. પૈસા જમા થતાં જ ગઠિયાઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો. પોર્ટલ પરથી વિડ્રો ઓપ્શન બંધ કરી દેવામાં આવ્યું અને જે નંબર પરથી ફોન આવતા હતા તે પણ બંધ થઈ ગયા. પોતે છેતરાયા હોવાનું જણાતા, વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. પોલીસે મુંબઈમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરીફરિયાદ મળતા જ સુરત સાયબર ક્રાઇમ સેલના પીઆઇ સહદેવસિંહ પઢેરિયા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. HYFIN Marketsના પોર્ટલ અને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તેના ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેઇલના આધારે પોલીસના હાથ નવી મુંબઈ સુધી પહોંચ્યા હતા. પોલીસ ટીમે નવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં દરોડો પાડી, શાહબાઝ શબ્બીર અબ્દુલા શેખ (ઉં.વ. 33) નામના યુવકની ધરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ અન્યશાહબાઝની પૂછપરછમાં જે વિગતો ખુલી તે આશ્ચર્યજનક હતી. તે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નહોતો, પરંતુ નવી મુંબઈમાં એક ઘરમાં ચાલતા આખા કોલ સેન્ટરનો મેનેજર હતો. આ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ છે, જે શાહબાઝને વોટ્સએપ પર લોકોનો લીક થયેલો ડેટા-નામ, મોબાઇલ નંબર, ઈમેલ મોકલતો હતો. શાહબાઝનું કામ આ ડેટાને વર્ગીકૃત કરવાનું હતું. તેની નીચે 5-6 ટેલીકોલર કામ કરતા હતા. તે રાજ્ય અને ભાષાના આધારે ડેટા વહેંચતો. જેમ કે, ગુજરાતના ટાર્ગેટ માટે તે ગુજરાતી જાણતા કોલરને ડેટા આપતો અને મહારાષ્ટ્રના ટાર્ગેટ માટે મરાઠી જાણતા કોલરને. આ કારણે પીડિતોને સહેલાઈથી વિશ્વાસમાં લઈ શકાતું હતું. મેનેજરનો પગાર અને કરોડોની ઠગાઈનો હિસાબઆ કામ માટે શાહબાઝને માસિક રૂ. 30,500 પગાર અને રૂ. 7,000 કમિશન મળતું હતું. તેણે ઠગાઈના પૈસા મેળવવા માટે Ms.Falcon Tradingના નામે પોતાની માલિકીની પેઢીનું RBL બેંકમાં કરંટ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. સુરતના ફરિયાદીના 29 લાખમાંથી રૂ. 3,61,280 સીધા શાહબાઝના આ ખાતામાં જમા થયા હતા. પોલીસે જ્યારે આ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ જેમ કે, એચ.એમ. મલ્ટીમીડિયા ટ્રેડ, એચ.એફ.સી. ટેક્નોલોજી વગેરેને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચકાસ્યા, ત્યારે આ જ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી અન્ય 9 ફરિયાદો નોંધાયેલી મળી આવી હતી. પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યાંઆ તમામ ફરિયાદો મળીને, આ ગેંગ અત્યાર સુધીમાં કુલ રૂ. 1,11,17,586 ની રકમની છેતરપિંડી કરી ચૂકી છે. સુરત સાયબર ક્રાઇમે શાહબાઝની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. હવે પોલીસ આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મીરપ ગામે ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા એક ટ્રક અને એક ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે રૂટિન ચેકિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમીદારો પાસેથી ગેરકાયદેસર અને રોયલ્ટી વગર સાદી રેતીના વહન અંગેની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, વિભાગની ટીમે મીરપ ગામે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન, રોયલ્ટી વગરની સાદી રેતી ભરેલા ટ્રક અને ટ્રેક્ટરને અટકાવવામાં આવ્યા હતા. આ સાથે બે લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનો અને રેતી સહિતનો ₹14 લાખનો મુદ્દામાલ ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિનો મોટો ભંડાર છે, ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે. આવા તત્વો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા નિયમિતપણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ, નિયામક અને અન્ય ટોચના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં કરાયેલી મહત્વપૂર્ણ સમજૂતીનો ભંગ કરીને 7 નવેમ્બર 2025ના રોજ નવી શરતો સાથેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં થયેલ ચર્ચા મુજબ પરિપત્રમાં અમલ કરવામાં આવ્યો નથીનો આક્ષેપ થયો છે. નવા પરિપત્ર સામે પ્રહલાદ મોદીનો આંદોલનનો હુંકારસસ્તા અનાજની દુકાનના સંચાલકો સાથે સરકારે કરેલી છેતરપિંડીના વિરોધમાં પ્રહલાદ મોદીએ ફરી એકવાર આંદોલનનો હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારે તાત્કાલિક નવો પરિપત્ર પાછો ખેંચવો પડશે, નહીં તો દુકાનદારોને આંદોલન કરવાની ફરજ પડશે. તેમનું કહેવું છે કે દુકાનદારો સાથે 4 નવેમ્બરના રોજ સમજૂતી થઈ હોવા છતાં, સરકારે એકતરફી રીતે નવો પરિપત્ર બહાર પાડીને વિશ્વાસઘાત કર્યો છે. 'ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી, તેનો સખત વિરોધ છે'ફેર પ્રાઇસ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિપત્ર બે દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયું તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમા થયેલી ચર્ચાથી વિપરિત વસ્તુ રજુ કરવામાં આવી છે. તેનો સખત વિરોધ છે. એમાં કલમ નં. 2 માં લખ્યું છે કે, કે વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારી કરશે. એમાં કોઈ જગ્યાએ એવો સ્પષ્ટ નથી લખેલું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેકટરના કર્મચારીઓની રહેશે. માટે એ લખવું જોઈએ એવું અમારું માનવું છે. પચાસ ટકા સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાતએસોસિયેશન મુજબ, 4 નવેમ્બરની બેઠકમાં દુકાન પર જથ્થો ઉતારતી વખતે માત્ર બે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ નવા પરિપત્રમાં 1 એપ્રિલ 2026થી પચાસ ટકા સભ્યો અંદાજે 5થી 6 સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાત કરાયું છે. 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગીએસોસિએશનોનું કહેવું છે કે, આ નિર્ણય સમજૂતીના મૂળ ભાવને ખંડિત કરે છે અને દુકાનદારો માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે. દુકાનદારોના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. 'કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી'દુકાનદારોનો આક્ષેપ છે કે, કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી ગઈ છે અને ટોચના અધિકારીઓએ મંત્રીઓને સાચી માહિતી આપ્યા વિના મનપસંદ નિર્ણયો દબાવી દીધા છે. એસોસિએશનના આગેવાનોએ તો આક્ષેપ કર્યો કે અધિકારીઓએ સરકારથી ઉપર જઈને નિર્ણય લઈને પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. '4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું'તેમણે વધુમાં કહ્યું કે, ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકો તથા દુકાનદારોની વાસ્તવિક પરેશાનીઓ સમજવા બદલે અધિકારીઓએ જટિલ પ્રક્રિયા લાદી છે, જેનાથી 4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા મળવાની બાકી છે.
ગોધરામાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવાયો:અમદાવાદ હાઇવે પર સૂર્યનગર સોસાયટી પાસે મળ્યો જથ્થો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અમદાવાદ હાઇવે માર્ગ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટી પાસે ઝાડી ઝાંખરામાં મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લામાં ઠાલવી દેવામાં આવ્યો છે. આ વેસ્ટ કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંચાલક દ્વારા નાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ બાયોમેડિકલ વેસ્ટમાં બિનઉપયોગી ટેબ્લેટ, ખાલી દવાઓની બોટલ, ઇન્જેક્શન અને સોય સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવવાથી અનેક સવાલો ઉભા થયા છે, જોકે કોણે ઠાલવ્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ પ્રકારની ઘોર બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે. નિયમો વિરુદ્ધ જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા તબીબો અને હોસ્પિટલો સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે, બાયોમેડિકલ વેસ્ટને નિયમ મુજબ પેકિંગ કરીને નિર્ધારિત એજન્સીઓ દ્વારા વાહનોમાં હોસ્પિટલોમાંથી લઈ જવામાં આવે છે. કોઈપણ ખુલ્લી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવી શકાતો નથી. આ કૃત્યથી આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને હવે આરોગ્ય વિભાગ આ અંગે શું તપાસ કરે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે અને નાના બાળકોથી લઈને સ્થાનિક રહીશોની અવરજવર મોટી સંખ્યામાં રહે છે. આવા સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય થતા સોસાયટીના લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, PGVCL કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા, પરંતુ તેમની પાસે ઓળખકાર્ડ નહોતા. આ ઉપરાંત, તેઓ જે વાહનમાં આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ નહોતી. આ કારણોસર ગ્રામજનોએ વીજ ચેકિંગ અટકાવ્યું હતું. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ ગેરકાયદેસર રીતે લોકોના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ગ્રામજનોએ અગાઉ પણ PGVCL સંબંધિત અનેક અરજીઓ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં PGVCLનો ડ્રાઈવર પણ ગ્રામજનો સાથે દાદાગીરી કરતો જોવા મળે છે. આ અંગે મુળી PGVCLના ઈજનેર વિજયભાઈ સાપરાએ જણાવ્યું કે, તેઓ ઈશ્વરીયા ગામે ચેકિંગમાં ગયા હતા ત્યારે ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમને ચેકિંગ કરવા દીધું નહોતું. આથી તેઓ વગર ચેકિંગે પરત આવી ગયા હતા અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
રૂપાલમાં ઝાંઝરી માતાજીનો 23મો પાટોત્સવ:અન્નકૂટ દર્શન અને મહાઆરતીનું ભવ્ય આયોજન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ખાતે આવેલા ઝાંઝરી માતાજીના મંદિરે 26 નવેમ્બર, બુધવારના રોજ માગશર સુદ છઠના દિવસે 23મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ દર્શન અને શેષનાગ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના દિવસે સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે અન્નકૂટ દર્શન યોજાશે, ત્યારબાદ 12:39 કલાકે ધજા ચડાવવામાં આવશે. સાંજે 5:30 કલાકે શ્રીફળ હોમ સાથે નવચંડી હવનની પૂર્ણાહુતિ થશે. સાંજે 6 કલાકે 551 દીવાની શેષનાગ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ 6:15 કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે.
ભચાઉમાં રેલવે ટ્રેક કામગીરીથી બે માર્ગ બંધ:વૈકલ્પિક માર્ગ માટે અન્ય અન્ડરપાસ વ્યવસ્થિત કરવા માંગ
ભચાઉ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક્ષિણ દિશામાં આવેલા નવા ભચાઉ વિસ્તારમાં નગરની ત્રીજા ભાગની વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારમાં નવા બે રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે અવરજવર માટેના બે માર્ગો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે. આનાથી લોકોને ફાટક પર લાંબો સમય રાહ જોવી પડે છે અને સમયનો વ્યય થાય છે. ભચાઉના નાગરિક જીતેન્દ્ર જે વાણીયાએ આ અંગે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનથી પટેલ અને જૈન બોર્ડિંગ સુધી કુલ ચાર અન્ડરપાસ આવેલા છે. તેમાંથી બે અન્ડરપાસ હાલમાં કામગીરીના કારણે બંધ છે. તેમણે સૂચવ્યું કે અન્ય બે અન્ડરપાસની આસપાસ સફાઈ કરીને અને રસ્તાને દુરસ્ત કરીને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. નગરજનોની માંગ છે કે રેલવે તંત્ર, વહીવટી વિભાગ અને સ્થાનિક લોકનેતાઓ આ બાબતે રસપૂર્વક રજૂઆત કરે અને યોગ્ય પગલાં ભરે. જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પ્રજાને વારંવાર ફાટક પર સમય વેડફવો નહીં પડે અને વર્તમાન સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારી યુનિટી માર્ચ અંગે છોટા ઉદેપુરના સાંસદ જશ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી માટે આગામી દિવસોમાં યુનિટી માર્ચ કાઢવામાં આવશે. આ યાત્રા જિલ્લા સ્તરે વિધાનસભા દીઠ યોજાશે. છોટા ઉદેપુર વિધાનસભા વિસ્તારમાં 18 નવેમ્બર 2025ના રોજ, જેતપુર પાવી વિધાનસભા વિસ્તારમાં 19 નવેમ્બર 2025ના રોજ અને સંખેડા વિધાનસભા વિસ્તારમાં 20 નવેમ્બર 2025ના રોજ યુનિટી યાત્રા નીકળશે. જેમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ યાત્રા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, તે જ રીતે 562 જેટલા વૃક્ષો વાવીને 'સરદાર સ્મૃતિ વન' બનાવવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને 'જનજાતિ ગૌરવ વર્ષ' તરીકે ઉજવવાનું પણ નક્કી કરાયું છે. જેના ભાગરૂપે બે અલગ-અલગ જગ્યાએથી યાત્રા નીકળશે. એક યાત્રા 7 નવેમ્બર 2025ના રોજ ઉમરગામથી નીકળશે અને બીજી યાત્રા અંબાજીથી શરૂ થશે. આ બંને યાત્રાઓ 13 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે પૂર્ણ થશે. આ યાત્રા 12 નવેમ્બર 2025ના રોજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી, પાવી જેતપુર અને તેજગઢ પહોંચશે અને રાત્રિ રોકાણ છોટા ઉદેપુર ખાતે કરશે. ત્યારબાદ, 13 નવેમ્બર 2025ના રોજ છોટા ઉદેપુરથી નીકળી પાનવડ, કવાંટ, ભાખા, નસવાડી થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે અને એકતાનગર પહોંચી યાત્રાનું સમાપન કરશે.
• કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે : ગોપાલ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને પગલે સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ પછી આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ ગણાવ્યું હતું તેમને આક્ષેપ કરતા કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોની મજાક બનાવવામાં આવી છે જો ખેડૂતને મદદ કરવી જ હોય તો હેકટર દીઠ 50,000 આપવામાં આવે, માત્ર બે હેકટર નહિ દરેક ખેડૂતને આપવામાં આવે તેવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માંગ છે. આ તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આપના બે બાપ કહી જાહેરમાં સંબોધન કરવામાં આવતા હોવાથી તેને જવાબ આપતા કહ્યું કે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને હજુ વધારે રેડાઈ તો પણ અમને વાંધો નથી ખેડૂતો અમારા માં-બાપ છે અમે જાહેરમાં કહીએ છીએ. દરેકના ફળિયામાં એક એક હેલીકૉપટર ઉભા રહેશે રાજકોટ આવેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા દશ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સાંભળવામાં તો એવું લાગે કે ખેડૂતો બધા માલામાલ થઇ જશે અને દરેકના ફળિયામાં એક એક હેલીકૉપટર ઉભા રહેશે. પરંતુ આ ખેડૂતોની મજાક બનાવી છે આ રાહત પેકેજ નહિ પરંતુ કૃષિ મજાક પેકેજ છે. સરકારના આ પેકેજથી ખેડૂતો માત્ર આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ખરીદી શકે તેમ છે. સરકાર જો ખરા અર્થમાં મદદ કરવા માંગતી હોય તો દરેક ખેડૂતને હેકટર દીઠ 50,000ની સહાયની જાહેરાત કરે કારણ કે માત્ર બે હેકટર જમીનમાં વરસાદ નથી વરસ્યો વરસ બધી જ જમીન પર પડ્યો છે માટે દરેક ખેડૂતને હેકટર દીઠ 50,000ની સહાય આપવામાં આવે તેવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માંગ છે. પલડેલા તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ તેમને વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે તો તેમાં ભીની પલળેલી ખેડૂતોની મગફળી લેવાશે કે કેમ તે હજુ કોઈને ખબ નથી ખેડૂતોની મગફળી પલળી ગઈ છે તો એમાં બાંધછોડ કરી ખરીદ કરવામાં આવે તે જરૂરી છે એ જ રીતે માત્ર મગફળી નહિ કમોસમી વરસાદના કારણે પલડેલા તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી અમારી માંગ છે તો ખરા અર્થમાં ખેડૂતની મદદ કરી તેવું કહી શકાય. ચૂંટણી આવે એટલે બધા ખેડૂતોના નામે લડવાની વાતો કરતા હોય છે પરંતુ અમે તો ખેડૂતોના પ્રશ્ને પણ લડીએ છીએ, ટીપીના પ્રશ્નો પણ ઉઠાવીએ છીએ સામાન્ય માણસોના દરેક પ્રશ્ન ઉઠાવી રહી છે સરકાર પણ જનતાના કામો કરી શકે છે ચૂંટણી આવ્યે જનતા નક્કી કરશે કોને મત આપવો એ પરંતુ હાલમાં અમારું તો સ્પષ્ટ માનવું છે ગુજરાતની જનતાનો અવાજ બની ગુજરાતની જનતાને ન્યાય અપાવવો એ મુખ્ય લક્ષ્યાંક છે. ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે અમરેલી કોંગ્રેસના નેતાઓ છેલ્લા બે દિવસથી નિવેદનો આપી આપ ના બે બાપ છે તેવા નિવેદનો કરી રહી છે જેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હવે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે હજુ વધુ રેડાઈ તો પણ અમને વાંધો નથી. અમારા બે નહિ પરંતુ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે અમે જાહેરમાં આ વાત સ્વીકારીએ છીએ કે ગુજરાતના ખેડૂતો અમારા માં-બાપ છે.
રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીં બંને આરોપીએ લંગડાતા ચાલી, બે હાથ જોડી માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા 10 દિવસ થયાં છતાં હજુ પોલીસ પકડથી દૂર છે. બન્ને ગેંગના સભ્યોએ લોકોની માફી માગી, કારમાં હોવાનું કબૂલ્યુંરાજકોટ શહેર SOG પોલીસ દ્વારા મંગળા રોડ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં વધુ ત્રણ આરોપી રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા અને અલ્કાફ ઉર્ફે જલાનગી અબ્બાસની ધરપકડ કરી છે. રાજકોટ SOG પીઆઇ સંજયસિંહ જાડેજાની ટીમ દ્વારા આજે (8 નવેમ્બર) આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. અહીં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીએ લંગડાતા પગે ચાલી બનાવના દિવસે થયેલી ઘટના વર્ણવી હતી અને બે હાથ જોડી લોકોની માફી માગી હતી. પોલીસ તપાસમાં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા ફાયરિંગ થયા દિવસે સ્વીફ્ટ કારમાં સાથે હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરમાન ઉર્ફે ચક્કી મૂર્ઘા ગેંગ સાથે સ્કોર્પિયો કારમાં હોવાનું સામે આવ્યું છે. રાજપાલ સામે હત્યાની કોશિશનો વધુ એક ગુનો નોંધાયોઆરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજાને વર્ષ 2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે. જામીન પર છુટયા બાદ પોલીસ કર્મચારી ભરતદાન ગઢવીની હત્યા કેસમાં સાક્ષી જીજ્ઞેશભાઈએ કોર્ટમાં આરોપી રાજા જાડેજા વિરુદ્ધ જુબાની આપતા તેનો ખાર રાખી રાજા જાડેજા અને તેના સાગરીતોએ સાથે મળી 18 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રિના સમયે હત્યાના બનાવને નજરે જોનાર સાક્ષીના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી કોર્ટમાં જુબાની ન આપવા ધમકી આપી હતી. આમ તેના વિરુદ્ધ હત્યાની કોશિષના બે ગુના નોંધાયા હતા અને હવે ફરી મંગળા રોડ પર ફાયરિંગ કેસમાં નામ ખુલતા તેના વિરુદ્ધ હત્યાની કોશિષનો વધુ એક ગુનો નોંધાયો છે. (રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી') મુખ્ય આરોપી હજુ પણ ફરારઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા મંગળા રોડ પર ફાયરિંગ કેસમાં અત્યાર સુધી કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા ઘટનાને 10 દિવસ થયાં છતાં પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અલગ-અલગ રાજ્યોમાં તપાસ અર્થ પહોંચી હતી, પરંતુ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. આ પણ વાંચો.... અંધાધૂંધ ફાયરિંગ કરનારાઓએ લંગડાતા પગે બે હાથ જોડી માફી માગી, 'પેંડા ગેંગ' બાદ 'મૂર્ઘા ગેંગ'ના 3 સાગરિતો ઝડપાયા આ પણ વાંચો... પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગનો આતંક, સામસામે ત્રીજી વખત ગોળીબાર
ઓક્ટોબર 2025માં પડેલ કમોસમી માવઠાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકશાન થયું છે ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે ડુંગળીને પોષણક્ષમ ભાવ નહીં મળતા ઉભા પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધું છે. ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોના હાલ બેહાલ થયાભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામના ખેડૂતે પોતાની વાડીમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોના હાલ બેહાલ થયા છે. ત્યારે આજરોજ મહેન્દ્રસિંહ ગોહિલ નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વિઘા માં ડુંગળી નું વાવેતર કર્યું હતું. કમોસમી માવઠાથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગજેમાં કમોસમી વરસાદ પડતાં ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ આવી જતા ખેડૂતે ડુંગળીના પાકમાં રોટાવોટર મશીન ફેરવી દીધું જેમાં ખેડૂતે અંદાજિત 75000 રૂપિયાનો ખર્ચે ડુંગળીના વાવેતર પાછળ કર્યો હતો અને અને પૂરતા ભાવ પણ ન મળતા અંતે કંટાળી જઈને ખેડૂતે નિષ્ફળ ગયેલા પાક ઉપર કટર મારીને પોતાની વેદના ઠાલવી હતી. રોટાવેટર મશીન ફેરવીને ડુંગળીનો નાશ કર્યોભાવનગર જીલ્લામા દર વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે. અને જિલ્લામાં થતી ડુંગળી અન્ય રાજ્ય સહિત અન્ય દેશોમાં પણ નિકાસ થતો હોય છે આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોને ચોમાસુ પાક તો બગડી ચૂક્યો છે પરંતુ હવે શિયાળું વાવેતર કરે તે પહેલા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ખેડૂતનું કહેવું છે કે ચાર મહિના રાત દિવસ મહેનત કર્યા બાદ પણ જો તેમને પોસાય નહીં તેવા ભાવ માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન મળતા હોય જેથી તેમને મજૂરી ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ બને છે. જેના કારણે ખેડૂતે હવે પોતાની વાડીએ રોટાવેટર મશીન ફેરવીને ડુંગળીનો નાશ કર્યો છે. 'ચોમાસુ પાક નિષ્ફળ ગયો'ખેડૂતનું કહેવું છે કે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે માટે ભાવ પણ પૂરતો મળી રહ્યો નથી સાથે જ હવે પછીની રવિ સીઝનમાં જો નવું વાવેતર કરવું હોય તો આ નિષ્ફળ અને પોષણક્ષમ ભાવ ન મળવાનાં કારણે ડુંગળીના પાક ઉપર કટરના છૂટકે માર્યું છે.
મહિલા કોલેજમાં વંદે માતરમ ગીતનું ગાન:150 વર્ષની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીનીઓએ કર્યું ગાન
બાપુનગર સ્થિત મહિલા વાણિજ્ય મહાવિદ્યાલયમાં વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ પુરષોત્તમ કકાણી, મેનેજિંગ ડાયરેક્ટર વી. પી. પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ સહિતના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં મહેશ્વરી સમાજે પદયાત્રા યોજી:મણિનગરથી કેમ્પ હનુમાન મંદિર સુધી શ્રદ્ધાળુઓ જોડાયા
અમદાવાદમાં મણિનગર મહેશ્વરી મિત્ર મંડળ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા મણિનગરથી શરૂ થઈને શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિર સુધી પહોંચી હતી.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીલામણી કોમ્પ્લેક્સ નજીક એક ગોડાઉનમાં ટ્રકની અંદરથી ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક રસલ વાઇપર (ખડચિતડો)નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગાંધીનગરથી આવેલા માલસામાન ભરેલા ટ્રકમાં બની હતી. ટ્રકમાં માલસામાન ઉતારતી વખતે સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે એનિમલ લાઇફ કેરના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ વિજય ડાભીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વિજય ડાભી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જોયું કે ટ્રકની અંદર પતરામાં એક સાપ ફસાયેલો હતો. આ સાપની ઓળખ રસલ વાઇપર તરીકે થઈ હતી, જેને ગુજરાતીમાં ખડચિતડો કહેવાય છે. રસલ વાઇપર ભારતના સૌથી ઝેરી સાપમાંથી એક છે અને તેમાં હોમોટોક્સિન નામનું ઝેર હોય છે. તે સ્પ્રિંગની જેમ ઝડપથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને કુકરની સીટી જેવો અવાજ કાઢે છે. વિજય ડાભીના જણાવ્યા અનુસાર, જો આ સાપ કરડે તો લોહી ગંઠાઈ જવાની સંભાવના રહે છે અને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. કોઈપણ પ્રકારની જાનહાનિ વગર વિજય ડાભીએ સુરક્ષિત રીતે રસલ વાઇપર સાપનું ટ્રકમાંથી રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
દમણ નગરપાલિકામાં ભાજપનો કબજો:15માંથી 14 બેઠકો ભાજપના ફાળે, 1 અપક્ષ ઉમેદવાર વિજેતા
સંઘ પ્રદેશ દમણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર વિજય મેળવી ભાજપે પાલિકા પર કબજો જમાવ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપને બે બેઠકો મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દમણ નગરપાલિકાની કુલ 15 બેઠકોમાંથી અગાઉ જ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આજના પરિણામો સાથે, ભાજપની કુલ બેઠકોની સંખ્યા 14 પર પહોંચી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આ સાથે દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત થયું છે.
17 વર્ષીય બેટ્સમેન રણવિજય રાઠોડના 237 રન:સેન્ટ કબીર સ્કૂલે J.L. ઇંગ્લિશ સ્કૂલને હરાવી
અમદાવાદ, 7 નવેમ્બર 2025: ADC બેંક U-19 (વન ડે) સ્કૂલ ટુર્નામેન્ટ 2025-26 ની સુપર નોકઆઉટ રાઉન્ડ મેચમાં સેન્ટ કબીર સ્કૂલે J.L. ઇંગ્લિશ સ્કૂલ સામે પાયોનિયર ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદ ખાતે વિજય મેળવ્યો. આ જીતમાં 17 વર્ષીય બેટ્સમેન રણવિજય એ. રાઠોડનું પ્રદર્શન મુખ્ય રહ્યું. સેન્ટ કબીર સ્કૂલના ઓપનર રણવિજય રાઠોડે 176 બોલમાં અણનમ 237 રન ફટકાર્યા હતા, જેમાં 39 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેણે શરૂઆતથી જ રમત પર પકડ જાળવી રાખી હતી અને ધીરજપૂર્વક પોતાની ઇનિંગ્સનું નિર્માણ કર્યું હતું. તેની આ ઇનિંગ્સને કારણે ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 50 ઓવરમાં 390/1 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, J.L. ઇંગ્લિશ સ્કૂલની ટીમ 30.4 ઓવરમાં માત્ર 83/9 રન જ બનાવી શકી હતી. સેન્ટ કબીરના બોલરોએ નિયંત્રિત બોલિંગ કરીને સતત દબાણ જાળવી રાખ્યું હતું. વ્રજ પટેલે 10 ઓવરમાં 32 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે તનય ઝાલાવડિયાએ 7.4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. બંનેના પ્રદર્શને ટીમની જીત સુનિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ મુકાબલામાં રણવિજય એ. રાઠોડને તેની અણનમ 237 રનની ઇનિંગ્સ બદલ 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ આર્થિક સહાય આગામી ઉનાળુ પાકના વાવેતર માટે મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત, પિયત અને બિન-પિયત જમીનનો ભેદ રાખ્યા વિના પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય જાહેર કરવામાં આવી છે. અગાઉની ₹17,000ની સહાય કરતાં આ રકમ વધુ હોવાથી ખેડૂતોએ તેને આવકારી છે. નવસારી જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને ફળ પાકોને વ્યાપક નુકસાન થયું હતું. જિલ્લામાં કુલ 37,000 હેક્ટર ખેતીની જમીનમાં પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેનું આર્થિક મૂલ્ય ₹38.30 કરોડ આંકવામાં આવ્યું છે. જોકે, ખેડૂતોએ ડાંગરના પૂરેટિયા (પરાળ)ને પણ ભારે નુકસાન થયું હોવાની રજૂઆત કરી છે. આના કારણે પશુપાલકો માટે ચારાની મોટી મુશ્કેલી ઊભી થશે અને ભાવ વધારો પણ થઈ શકે છે. તેથી, ખેડૂતો પૂરેટિયાના નુકસાન માટે પણ વળતરની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, ઘણા ખેડૂતોએ એક જ ખેડૂતના અલગ-અલગ સર્વે નંબરના ખેતરોને પણ સહાય માટે ધ્યાનમાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. ખેડૂત હરીશભાઈ જણાવે છે કે, રાજ્ય સરકારનું પેકેજ જાહેર થયું એ બહુ સારી વાત છે અને આટલું અત્યારની અત્યારની જે સરકારે આ પેકેજ તે પહેલા કોઈપણ સરકારે આટલું બધું પેકેજ મોટું આપ્યું નથી. અને હમણાં આપ્યું છે તો બરાબર, ને હવે જે નાના ખેડૂતો છે, જે બે-ત્રણ વીઘા જમીન વાળા, હવે તે તો એના પર જ નિર્ભર હોય આખું ઘર, આખું વર્ષ એના પર જ, જે પાક પાકે એનાથી બિચારા ખાઈને આમ તેમ કરે. બીજું કોઈ અન્ય આવક જ નથી. તો એ લોકોને ખરેખર આ પેકેજ મળવું જ જોઈએ. જેમ બને તેમ કોઈ છૂટી નહી જવા જોઈએ. હરીશભાઈ વધુમાં જણાવે છે કે, મારું કહેવું એ, મારું સજેશન એ કે આપના માધ્યમથી મેં એટલું જાહેર કરું કે અધિકારી એના ઘરે જઈને એને તપાસ કરે કે ભાઈ તમને મળ્યું કે, એ આ શાંત્વના આપે કે ભાઈ અમે છે તમારા માટે. ને આ રીતનું ખરેખર થાય તો બહુ સરસ કહેવાય. ને બીજું, એ લોકોને એવું કંઈ બિયારણ આપો જે નેક્સ્ટ સત્રમાં એ લોકો કંઈ કરી શકે, કે ઉનાળુ પાકમાં કંઈ કરી શકે. એનું બિયારણ જે સબસિડીના આધારે આપો ને ઓછા ભાવે મળે તેવું હું ઈચ્છું છું. ખેડૂત પંજકભાઈ જણાવે છે કે મેં આ પેકેજથી થોડી ખેડૂતોને થોડીક રાહત થવાની. ત્યાર સુધીમાં જે આ નુકસાનીનો આપણે આંકડો મૂકીએ, જો સરકારી અધિકારીઓ સારી રીતે આ સર્વે કરશે તો ખેડૂતોને થોડો ટેકો રહેશે. સ્થળ પર જઈને જો તમે કરશો સર્વે કે કેટલું નુકસાન છે કે આપણે લોક પાહે ડેટા હોય જ છે તો ખેડૂતોને લાભ છે ને સારો છે.ડાંગરમાં જે આપણે દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક જે મસૂરી ભાત છે, જયા છે, પૌંવામાં જાય છે તે... પછી બીજી એવી થોડીક જાતો છે કે તેનું ઉત્પાદન આપણા દક્ષિણ ગુજરાતમાં સારું થાય છે. પણ જ્યારે સમય આવ્યો, જ્યારે કાપવાનો સમય આવ્યો ત્યારે જે પાંચ દિવસ વરસાદ પડ્યો તેમાં ખેડૂતોની કમર તોડી નાખી.રાહત, સરકારે જે આપી એ પણ સારું છે. આનંદ છે એના માટે.
દેવદિવાળી, આસ્ટોડિયા બાલા હનુમાન મંદિરે અન્નકૂટ:ભક્તોએ છપ્પન ભોગના દર્શન કરી પ્રસાદ લીધો
આસ્ટોડિયા સ્થિત બાલા હનુમાન મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે હનુમાનજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં સવારે અને સાંજે હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ભાવિક ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. લગભગ 300 વર્ષ જૂના આ મંદિરમાં દેવ દિવાળીના અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારામાં પણ અનેક શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાલા હનુમાનજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને માનતા રાખે છે. માનતા પૂર્ણ થતાં ભક્તો હનુમાનજીને પ્રસાદ ધરાવીને દર્શન કરે છે. માણેક ચોકના સોના-ચાંદીના વેપારીઓ પણ સવારે અને સાંજે હનુમાનજીના દર્શન કરીને પોતાના વ્યવસાય પર જાય છે.
અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા, ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે અને વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉના વર્ષોની જેમ જ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોએ વિનંતી કરી છે કે યુરિયાનો પુરવઠો ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે અને સમયનો બગાડ ટાળી શકાય. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે સારા વરસાદને કારણે યુરિયા ખાતરની થોડી અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને અમીરગઢ તાલુકામાં યુરિયાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકાની વાત કરીએ તો, આ વખતે સારા વરસાદના કારણે યુરિયા ખાતરની થોડીક શોર્ટેજ થઈ રહી છે. તો જે કરી અને સરકારે અગાઉના વર્ષોમાં જે વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે જલ્દી અને જલ્દીથી યુરિયાનો પુરવઠો અમીરગઢ તાલુકાની અંદર મળી રહે અને જેથી કરી અને લાંબી કતાર લાઈનોમાં ખેડૂતોને ન ઊભું રહેવું પડે અને સમયની બરબાદી ન થાય તે માટે ખેડૂતોની માટે ચિંતા કરતી સરકારને વિનંતી છે.
સુરતમાં ટ્રાફિક નિયમને લઈને એક પરપ્રાંતિય યુવક અને પોલીસકર્મી વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં બન્ને એકબીજા પર ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યાં છે. વીડિયોમાં યુવક બોલી રહ્યો છે કે, શું યુપી-બિહારના છે તો અહીં રહેવા નહિ દેવાના? અહીંના સીસીટીવી ચેક કરીને મારી ભૂલ હોય તો મારી ગાડી અને મને જમા કરી લેજો. તો બીજી તરફ પોલીસકર્મીએ યુવકે દાદાગીરી કરી હોવાનું જણાવી અને હર્ષ સંઘવીને ફોન કરી વર્દી ઉતરાવી દેવાની ધમકી આપ્યાની વાત કરે છે. આ મામલે ડીંડોલી પીઆઇ આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે વીડિયો જોયો છે, પરંતુ આ વીડિયોમાં કોઈ ડીંડોલી પોલીસ મથકના પોલીસકર્મી નથી. બની શકે કે અન્ય પોલીસ મથકનો હોય. ઓવર સ્પીડિંગ અને નંબર પ્લેટના કારણે વિવાદ થયોવીડિયોમાં જે વ્યક્તિ વાતચીત કરી રહ્યો છે, તેનું નામ શિવમ સિંગ હોવાનું જાણવા મળે છે અને સામે પોલીસકર્મી તેમની બાઇક પર એકલો બેઠેલો છે. વીડિયોની શરૂઆત બંને પક્ષો દ્વારા એકબીજા પર ઓવરસ્પીડમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવાથી થાય છે. શિવમ સિંગ સ્વીકારે છે કે, તેની ગાડી પર નંબર પ્લેટ નથી અને માત્ર ઇન્સ્યોરન્સના કાગળો છે, જે તેની ભૂલ છે. આ ભૂલ માટે તે પેનલ્ટી ભરવા પણ તૈયાર છે. પ્રાદેશિક ટિપ્પણી કરતા વિવાદ વકર્યોશિવમ સિંગે આક્ષેપ કર્યો કે, પોલીસકર્મીએ તેને નામ પૂછ્યા બાદ કહ્યું કે, ક્યાંનો છે? યુપીનો છે? તું યુપીનો છે તો તારી દાદાગીરી નહીં નહીં ચાલે. આ ટિપ્પણીના જવાબમાં શિવમ સિંગ પોલીસકર્મીને કહે છે કે, યુપી બિહારના છીએ તો અહીં નહીં રહેવા દેશો? યુપી-બિહારવાળાની અહીં દાદાગીરી નહીં ચાલે એમ કેમ કહો છો? બંને પક્ષો એકબીજા પર 'દાદાગીરી' કરવાનો આરોપ લગાવતા દેખાય છે. યુવકનું કહેવું છે કે, પોલીસકર્મીની પ્રાદેશિક ટિપ્પણી અયોગ્ય છે. પોલીસકર્મીએ દાવો કર્યો કે, શિવમ સિંગે તેમને હર્ષ સંઘવીને ફોન કરી અને વર્દી ઉતારવાની વાત કરી, પરંતુ શિવમ સિંગે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે, તેણે આવું કશું કહ્યું જ નથી. શિવમ સિંગે જણાવ્યું કે, પોલીસકર્મી હાઈસ્પીડિંગથી નીકળી ગયા હતા, ત્યારે તેમનો ફોલ્ટ આવ્યો હતો અને તેથી જ તેઓ ખોટી રીતે વર્તી રહ્યા છે. કેમેરા તપાસવાની માગ અને ઓળખ છુપાવવાનો પ્રયાસછેલ્લે, વિવાદનો અંત લાવવા બંને જણાએ કેમેરામાં ચકાસણી કરવાની વાત કરી હતી કે, કોણ હાઈસ્પીડિંગમાં હતું. વીડિયોના અંતમાં શિવમ સિંગ પોલીસકર્મીનું નામ પૂછે છે, પરંતુ તેઓ નામ જણાવવાનો ઇનકાર કરે છે. જોકે, જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી છે, ત્યારે તેમણે 'હા' માં જવાબ આપ્યો હતો. આ મામલે દિવ્ય ભાસ્કરે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જે. ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અમે વીડિયો જોયો છે, પરંતુ આ વીડિયોમાં કોઈ ડીંડોલી પોલીસ મથકના પોલીસકર્મી નથી. બની શકે કે અન્ય પોલીસ મથકનો હોય. વીડિયોમાં પોલીસકર્મી અને શિવમ સિંગ વચ્ચે થયેલી વાતચીત (ત્યારબાદ પોલીસકર્મી યુવકનો વીડિયો ઉતારવાનું શરૂ કરે છે.)
ગાંધીનગરમાં સામા-ચકેવા લોકોત્સવ યોજાયો:શાશ્વત – મિથિલા ભવન ખાતે ભવ્ય સામા-ચકેવા લોકોત્સવનું આયોજન
ગાંધીનગરના ડભોડા સ્થિત શાશ્વત – મિથિલા ભવન ખાતે 5 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે “સામા-ચકેવા” લોકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ચીફ સેક્રેટરી મનોજ દાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દાસે મિથિલા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામના માલવીય મિશનના સંતોષ મિશ્રા અને મહામના માલવીય મિશન ગુજરાતના અધ્યક્ષ રણજીત ઝાનું વિશેષ યોગદાન રહ્યું હતું. શાશ્વત મિથિલા ફાઉન્ડેશનના અધ્યક્ષ રાજકિશોર ઝાએ સહયોગી દાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર ખાતે ગોકુલધામ વિન્ટર કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ઓલ ઈન્ડિયા લેધર બોલ ઓપન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 51 ટીમો ભાગ લઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે. આ ટુર્નામેન્ટમાં તમામ મેચો ટી-20 નોકઆઉટ પદ્ધતિ હેઠળ લશ ગ્રીન ટર્ફ વિકેટ પર રમાશે. દરરોજ બે મેચોનું આયોજન કરવામાં આવશે. વિજેતા ટીમને રૂપિયા 25,000 અને રનર-અપ ટીમને રૂપિયા 12,000નું ઇનામ આપવામાં આવશે. ગોકુલધામ નાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગ્રામ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો કરવામાં આવે છે. આ આયોજનમાં ચારુસેટ યુનિવર્સિટી મુખ્ય સહયોગી, અનંતા હોટેલ્સ એન્ડ રિસોર્ટ સહ-સ્પોન્સર અને જનમંગલ જ્વેલર્સ મેન ઓફ ધ મેચ/મેન ઓફ ધ સિરીઝના સ્પોન્સર તરીકે જોડાયા છે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ ખેલાડીઓને આશીર્વચન આપતાં જણાવ્યું કે, રમત આત્મવિશ્વાસ, સંયમ અને એકતાનો સંદેશ આપે છે. ખેલાડીઓએ રમતને સાધના રૂપે સ્વીકારી પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા. આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલ સવિતાબેન બચુભાઈ બ્રહ્મભટ્ટ ફેમિલીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જે ગોકુલધામના રમતગમત વિકાસ માટે પ્રેરણારૂપ છે.
'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ ઉજવાઈ:રતુભાઈ અદાણી શાળા, ઉન ખાતે બાળકોએ સમૂહ ગાન કર્યું
રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા નંબર 295, ઉન ખાતે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, શાળાના સમગ્ર સ્ટાફ અને બાળકોએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો. આ ઉપરાંત, સૌએ પોતાના પરિવારના દરેક સભ્ય સુધી આ સંદેશ પહોંચાડીને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે સામાજિક જાગૃતિ લાવવાનો પણ સંકલ્પ કર્યો. શાળાના મુખ્ય શિક્ષક શ્રી પંકજ ત્રિવેદીએ 'વંદે માતરમ્'ના ઇતિહાસ, મહત્ત્વ અને સ્વતંત્રતા સંગ્રામમાં તેના યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચનાએ સ્વાતંત્ર્ય સંગ્રામને નવી શક્તિ આપી હોવાની સમજ આપી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકો બિંદિયાબેન અને સંજયભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દેશ પ્રત્યેના પ્રેમ અને સ્વદેશી ભાવનાને અપનાવવા માટે પ્રેરિત કર્યા.
વંદેમાતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ:ઈન્ડસ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્મૃતિ કાર્યક્રમની ઉજવણી
વંદેમાતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વંદેમાતરમ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની સામૂહિક ચેતનાનું પ્રતીક છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના માર્ગદર્શન હેઠળ, 7 નવેમ્બર 2025 ના રોજ સવારે ઈન્ડસ યુનિવર્સિટીમાં વંદેમાતરમના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, રાંચરડા, નંદોલી અને પલોડિયા ગામના સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને વિવિધ ગ્રામસભાના સભ્યો સહિત યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે દેશપ્રેમ અને સ્વાવલંબનનો સંકલ્પ પણ કર્યો હતો. આ અવસરને રાષ્ટ્રભાવના અને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો, જ્યાં વંદેમાતરમ ના ગાનથી સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે, 9 નવેમ્બર, 2025ના રોજ, હિંમતનગર-1 સબસ્ટેશનમાં જરૂરી સમારકામના કારણે આઠ કલાક વીજપુરવઠો બંધ રહેશે. UGVCL દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. UGVCL દ્વારા જણાવાયા મુજબ, 9 નવેમ્બર, 2025 (રવિવાર) ના રોજ સવારે 08:00 થી સાંજે 16:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હિંમતનગર-1 સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી મંદિર, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા બજાર, રાજતીર્થ, મહાકાલી મંદિર, અતિથિ, મેડિકલ અને હાપા સહિતના તમામ ફીડરોનો પાવર સપ્લાય બંધ રહેશે. આ વીજકાપને કારણે સહકારી જીન રોડ, ખેડ તસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર હાઈવે, જૂના બજાર, નવા બજાર, હિંમતનગર GIDC, ગાયત્રી મંદિર રોડ, દૌલત વિલાસ પેલેસ રોડ, હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ, નવી તથા જૂની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટિકલ કોલેજ રોડ, મહાકાલી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત, હડીયોલ રોડ અને આસપાસના વિસ્તારોમાં અસર થશે. આ ઉપરાંત, હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ વીજપુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ-પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ માહિતી હિંમતનગર UGVCL કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સુખનાથ ચોક શાળામાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી:બાળકોએ સ્વદેશી અને વ્યસનમુક્તિના શપથ લીધા
સુખનાથ ચોક સ્થિત શ્રી મારી પ્રાથમિક શાળામાં વંદે માતરમ કૃતિના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા સમૂહમાં વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશી અભિયાન તેમજ વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સરકારના સ્વદેશી મિશન અને વ્યસનમુક્તિના સંકલ્પને પ્રોત્સાહન આપવા માટે આ શપથવિધિ યોજાઈ હતી. સમાજ સુરક્ષા બાળ કલ્યાણ વિભાગના ડૉ .કિરણ રામાણી અને અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી બાળકોને વ્યસનમુક્તિ અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લેવડાવ્યા હતા. શાળાના આચાર્ય જય વાસવેલીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નાના બાળકોમાં વ્યસનનું દૂષણ ગંભીરતાપૂર્વક વધી રહ્યું છે. સરકાર દ્વારા શાળાઓના માધ્યમથી આ દૂષણને રોકવાના પ્રયાસો પ્રશંસનીય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા દૂષણોથી દૂર રહીને આરોગ્ય જાળવવું એ સમાજના ઘડતર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં મારી પ્રાથમિક શાળાના તમામ બાળકો અને શિક્ષકો તેમજ ચાલોરપા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ભાગ લીધો હતો.
કચ્છ કિસાન સંઘ પ્રેરિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રથ આજે ભુજના રુદ્રાણી જાગીર ખાતે આવી પહોંચ્યો છે. આ રથ ભુજ તાલુકાના 250 ગામોનો પ્રવાસ કરશે અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે ખેડૂત પરિવારોને સજાગ કરશે. કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા આ અભિયાન અંતર્ગત સરકાર સમક્ષ વિવિધ મહત્વની માંગણીઓ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ ટાવર લાઈનોના બાંધકામ માટે પોલીસ દબાણથી કામ થાય છે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં નર્મદા કેનાલોના કામ ઝડપથી પૂર્ણ કરાવવા, સ્કાય યોજના નિષ્ફળ જાહેર કરી ખેડૂતોને નુકસાનની ભરપાઈ આપવી, ભારે વરસાદથી થયેલ પાકનાશ માટે સહાય ચૂકવવી, રવિ પાક માટે ખાતરનો પૂરવઠો સુનિશ્ચિત કરવો અને ટેકાના ભાવે પાક ખરીદી શરૂ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પડતર જમીનો ખેડૂતોના નામે કરવી, વાંઢીયા સબ બ્રાંચ કેનાલના બાકી કામો પૂર્ણ કરવા, પાક ધિરાણ યોજના અમલમાં લાવવી અને પોલીસ દ્વારા કંપનીઓના દુરુપયોગ પર રોક લગાવવાની માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોનો ઉલ્લેખ છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ ન્યાયપૂર્ણ વળતર અને પોતાના હક્કની માંગણી કરી રહ્યા છે. કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજી અહિરે જણાવ્યું કે ખેડૂતોને પજવતા 9 મુદ્દા સાથે કિસાન અધિકાર જનજાગૃતિ રથ જિલ્લાના 600 ગામોમાં ફરશે. ભચાઉના જંગી ગામથી ગત 16 તારીખથી શરૂ થયેલું આ અભિયાન અત્યાર સુધીમાં 250 ગામોમાં ફરી ચૂક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને અદાણી સહિતની કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે અને પોલીસ બળનો ગેરઉપયોગ કરવામાં આવે છે. જો ખેડૂતોની બહેન-દીકરીઓ વિરોધ કરે તો તેમને પોતાના ખેતરમાંથી ઢસડીને દૂર કરવામાં આવે છે, જે સરકારની તાનાશાહી છે. જો આ સ્થિતિ કાયમ રહી તો આગામી સમયમાં કચ્છના સવા લાખ કિસાનો ભુજમાં કલેકટર કચેરી સામે ધરણા પર ઉતરશે. ત્યારબાદ પણ કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે કિસાનો સરકારનો સહારો બન્યા હતા તે જ વિરોધી બનશે. કચ્છ કિસાન સંઘના જિલ્લા મંત્રી વાલજીભાઈ પટેલે કહ્યું કે, રાજ્યના 12 કિસાન પરિવારના લોકો માટે આ લડત છે. કચ્છના અઢી લાખ ખેડૂતોને ન્યાય મળે તે માટેનો જનજાગૃતિ અધિકાર રથ સમગ્ર કચ્છમાં ફરશે અને પોતાની નવ મુદ્દાની માંગને પ્રબળ કરશે. જો રાજ્યની ભાજપ સરકાર ઘટતું નહીં કરે તો આગામી ચૂંટણીમાં તેને મોટી ખોટ પડવાની છે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં 6 યુવાનો સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. ઢોળાવવાળો અને લપસણો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશિયલ મીડિયાની ઘેલછામાં આ સાહસ કર્યું હતું. થોડા દિવસો પહેલા પણ આ જ પ્રકારનો શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાનનું નીચે પટકાતા મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ કૃત્ય કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં યુવાનો પગથિયાં સિવાયના માર્ગે કેવી રીતે પહોંચ્યા, તે અંગે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયાએ જણાવ્યું કે, યુવાનો નવી સીડી મારફતે ચડ્યા હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો હોવાથી અકસ્માતની સંભાવના વધુસોશિયલ મીડિયામાં યુવાનો ગિરનારના ઢોળાવવાળો રસ્તે પર્વત ચઢી રહ્યાં હોવાના વીડિયોએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગિરનાર પર્વતની ઊંચાઈ 3,500 ફૂટથી પણ વધુ છે, અને ભવનાથ તળેટીથી શરૂ થતી સીડીમાં લગભગ દસ હજાર પગથિયાં છે, જે દત્તાત્રેય શિખર સુધી પહોંચે છે. પગથિયાં સિવાયનો પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો, લપસણો અને ઝાડ-પાંદડાંથી ભરપૂર હોવાથી અકસ્માતની સંભાવના ઘણી વધારે છે. ત્યારે આ વાઇરલ વીડિયોમાં દેખાતા આ દૃશ્યો માત્ર સાહસ નથી, પણ જીવનું જોખમ છે. જો આમાં કોઈ આકસ્મિક ઘટના બને, તો તેની જવાબદારી કોની રહેશે, તે મોટો સવાલ છે. વન વિભાગનું 'રેઢું રાજ' અને સુરક્ષા વ્યવસ્થામાં મોટી બેદરકારીએક તરફ વન વિભાગ જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકો પાસેથી દંડ વસૂલે છે અને જંગલ સંરક્ષણના દાવા કરે છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં યુવાનો પર્વત પર શોર્ટકટ રસ્તે કેવી રીતે પહોંચી શક્યા? જો તેઓ કોઈ અન્ય રસ્તે ગયા હોય, તો તે સ્પષ્ટપણે વન વિભાગની 'રેઢું રાજ' અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી મોટી બેદરકારી સાબિત કરે છે. 3200 પગથિયાંથી નીચે પટકાતા યુવક મોતને ભેટ્યો હતોઆ પ્રકારના શોર્ટકટના ગંભીર પરિણામો તાજેતરમાં પણ સામે આવ્યા હતા. થોડા દિવસો પહેલા પરિક્રમાના સમયમાં જ એક યુવાનને આ રીતે જીવ ગુમાવવો પડ્યો હતો. આશરે 30થી 35 વર્ષની ઉંમરનો એક અજાણ્યો યુવક 3200 પગથિયાંથી પટકાઈને નીચે 2500 પગથિયાં પાસે મોતને ભેટ્યો હતો. દુકાન ધારકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, ઊંચાઈ પરથી પછડાટને કારણે તેનું મૃત્યુ થયું હતું. યાત્રિકોના કહેવા મુજબ, તે આડેધડ પથ્થરો પર ચડીને શોર્ટકટ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વેલનાથ બાપુની જગ્યાએથી પર્વત પર ચડ્યા હોવાની માહિતીઆ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયા એ જણાવ્યું હતું કે, આ યુવાનો નવી સીડી મારફત વેલનાથ બાપુની જગ્યા અને ત્યાંથી ગિરનાર પર્વત પર ચડ્યા હોય તેવું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આ વાઇરલ વીડિયોને લઇ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વાઇરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરાઈસોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ વહીવટી અને વન વિભાગના તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વીડિયો અપલોડ થયાના બે દિવસ બાદ મામલો ધ્યાનમાં આવતા વન વિભાગે આ યુવાનો અંગે તપાસ શરૂ કરી છે. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે, આ યુવાનો કયા રસ્તેથી પર્વત પર ચડ્યા અને તેઓ જંગલ સંરક્ષણના નિયમોનો ભંગ કરીને જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા કે કેમ.
ધ્રોલમાં LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો:રૂ. 4.50 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ
જામનગર LCB પોલીસે ધ્રોલ તાલુકાના ખાખરાગામ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,50,600/- ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. ખાનગી બાતમીના આધારે, LCB સ્ટાફે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયાથી ખાખરાગામ તરફ જતા રોડ પર આવેલી નર્સરી પાસેથી GJ-12 CG 7160 નંબરની XUV કારને અટકાવી હતી. કારમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 112 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,45,600/- થાય છે. પોલીસે જામનગરના રામેશ્વરનગર, શાંતિનગર શેરી નંબર-6 માં રહેતા રવીરાજસિંહ દાદુભા ચૌહાણની ધરપકડ કરી હતી. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 5,000/- નો એક મોબાઇલ ફોન અને રૂ. 3,00,000/- ની XUV કાર પણ જપ્ત કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવતા, ASI દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો મંગાવનાર ધ્રોલ તાલુકાના ખાખરાગામના મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા અને દારૂ સપ્લાય કરનાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ભાભલુભાઈ કાઠીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને LCB ઇન્ચાર્જ PI બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરી, તેમજ LCB સ્ટાફના મથુરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર અને દિલીપભાઈ તલવાડીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે એક આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે વિવિધ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠક પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દેવેન્દ્ર મીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વિભાગને સોંપાયેલી કામગીરી સમયસર અને કાળજીપૂર્વક પૂર્ણ થવી જોઈએ. તેમણે આદિજાતિ ગૌરવની ઉજવણીને ભવ્ય અને લોકસહભાગી બનાવવા માટે પરંપરાગત પોશાકમાં લોકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં બે રૂટ મારફતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ-2 અંતર્ગત દાહોદ જિલ્લાનો સમાવેશ 10 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો છે. રથયાત્રાનો સ્વાગત કાર્યક્રમ ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે યોજાશે, જે દાહોદ જિલ્લાના સુખસર, ઝાલોદ, કંબોઈ, દાહોદ, ગરબાડા, ધાનપુર અને લીમખેડા તાલુકાઓને આવરી લેશે. જિલ્લાના ગામોમાં રૂટ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન અને રાત્રિ રોકાણ સમયે ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ અને આદિજાતિ વિકાસની ગાથાઓ નાટક, સભા, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રભાતફેરી, આરોગ્ય શિબિર, વૃક્ષારોપણ અને શપથગ્રહણ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાશે. આદિજાતિ સમુદાયના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવશે. ગ્રામજનોને કાર્યક્રમ સ્થળે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓની માહિતી તેમજ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેવેન્દ્ર મીનાએ રથયાત્રાના આગમન પહેલાં અને આગમનના દિવસે થનારી કામગીરી અંગે વિગતવાર સૂચનાઓ આપી હતી. તેમણે શાળાઓ અને કોલેજોમાં રમતગમત, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અને કાર્યો અંગે જાગૃતિ લાવવા પણ આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી તાલુકા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સહિત રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવતા આ મહિને રાશનકાર્ડ ધારકોને અનાજના પુરવઠાનું વિતરણ ખોરવાઈ ગયું છે. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી અઠવાડિયામાં માત્ર પોણા બે ટકા લોકો સુધી જ અનાજ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જેના લીધે ગરીબોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું વિતરણ થઈ શક્યું નથી. રાજકોટ જિલ્લાના પુરવઠા અધિકારી ઝાંપડાના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં 3,11,999 રાશન કાર્ડ ધારકો છે. સામાન્ય રીતે રાશનકાર્ડ ધારકોને દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં અનાજ અને ખાંડ સહિતનો પુરવઠો મળી જતો હોય છે પરંતુ આ વખતે હડતાલને કારણે તેમાં થોડું મોડું થયું છે. જોકે એક અઠવાડિયામાં વિતરણ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના 700 સહિત રાજ્યના 17000 સસ્તા અનાજના દુકાનદારો 1 નવેમ્બરથી અલગ અલગ 20 જેટલી માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા હતા. જેમાં પ્રતિ કીલો કમિશન રૂ.1.50 થી વધારી રૂ.3 અને મીનીમમ કમિશન રૂ.20 હજારથી વધારી રૂ.30 હજાર કરવાની માંગણી હતી. જોકે સરકારે માંગણીઓ સંતોષવા માટે બાંયધરી આપતા 4 નવેમ્બરના હડતાલ તો સમેટાઈ ગઈ હતી પરંતુ રાશન વિતરણ માટે પરમિટ અને ચલણ મોડા જનરેટ થતા હજુ દુકાનોમાં રાશનનો જથ્થો પહોંચ્યો નથી. માત્ર પોણા બે ટકા જથ્થો પહોચતા ગરીબ રાશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજ્યના રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ માસ - લાભાર્થી રાશનકાર્ડ ધારકો જૂન - 66,41,739 જુલાઈ - 1,21,20,883 ઓગસ્ટ - 1,33,61,616 સપ્ટેમ્બર - 1,37,65,203 ઓક્ટોબર - 1,44,24,156 નવેમ્બર - 33,939
ભરૂચ શહેર નજીકના નંદેલાવ ગ્રામ પંચાયત હદના બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં ગત મધરાત્રે સાપ દેખાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે આશરે 11:45 કલાકે સાપ જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હીરેન શાહનો સંપર્ક કર્યો હતો. હીરેન શાહ તથા જીગર પટેલની ટીમે સ્થળ પર પહોંચી સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધો હતો. બચાવ દળના જણાવ્યા મુજબ, રેસ્ક્યૂ કરાયેલ સાપ ચેકર્ડ કીલબેક જાતિનો બિન-ઝેરી હતો, જેના કારણે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરના કમોસમી વરસાદ બાદ સરિસૃપ જીવો રહેણાક વિસ્તારોમાં બહાર આવવાના બનાવોમાં વધારો નોંધાયો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે સાપ દેખાય તો ગભરાટ કર્યા વિના તાલીમ પ્રાપ્ત સાપ રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવો.
બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. આજે સવારે બંને દીકરીઓની લાશ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
મહેસાણા પેરોલ ફર્લો ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને બાતમી આધારે તેના જ ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. આરોપી સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો હતો. પોલીસે ઘરે જઈને આરોપીને દબોચી લીધોમહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા કંકુપુરા ગામે રહેતા અશ્વિનજી ઠાકોર સામે દોઢ એક વર્ષ અગાઉ વિસનગર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં આરોપી ફરાર થઇ ગયો હતો. આ આરોપીને ઝડપવા ASI અનિરુદ્ધ થતા Pc રવિકુમાર આરોપીને ઝડપવા ફરી રહ્યા હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી હાલમાં તેના જ ઘરે હાજર છે, જેથી પોલીસની ટીમ તેના ઘરે જતા આરોપીને ઝડપી વિસનગર તાલુકા પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો હતો. ફરાર આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવમહેસાણા જિલ્લામાં પેરોલ થતા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર કેદીઓ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા પેરોલ ફર્લો ટીમે ખાસ ડ્રાઇવ ચાલુ કરી છે. આ ડ્રાઈવ દરમિયાન અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પેરોલ ફર્લો ટીમે ઝડપી જેલ હવાલે તેમજ જેતે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ માટે મોકલી આપી રહી છે.
પાટણ પાલિકામાં ભાજપ V/S ભાજપનો ઘાટ ઘડાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને ભાજપના જ 6 નગરસેવકોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી તેમની સામે પગલા લેવાની વિનંતી કરી છે. તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, આજકાલથી નહીં વર્ષ 2020માં જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાંખતા આવ્યા છે. જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે કામો નામંજૂર કરાવે છે. 6 સભ્યોનાં નામ સાથે CMને ફરિયાદ કરીપાટણ નગરપાલિકાની તા. 30/10/2025ની સામાન્ય સભાનાં સત્તાધારી પાર્ટીનાં કેટલાક સભ્યોએ એજન્ડાના સંખ્યાબંધ કામોનો વિરોધ કરીને મુલત્વી કે નામંજૂર કરીને શહેરની જનતાનાં વિકાસનાં કામોમાં વિક્ષેપ ઉભો કર્યા હોવાના આક્ષેપોની હજુ પણ આજે સાત દિવસ પછી પણ કળ વળી નથી. 30 ઓક્ટોમ્બરની સામાન્ય સભા બાદ પ્રમુખ હિલબેન પરમારે આ વિવિધ પ્રજાલક્ષી ગ્રાન્ટોનાં કામોનો વિરોધ કરીને તેમનાં પક્ષનાં લોકોએ વિકાસમાં રોડા નાંખતાં હોવાનો આક્ષેપ ખુલ્લેઆમ કર્યો હતો. પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વિરોધ કરનારા તેમની જ પાર્ટીનાં 6 સભ્યોનાં નામ સાથે પોતાની હૈયાવરાળ સ્વરૂપની ફરીયાદ હવે મુખ્યમંત્રીને લેખિત સ્વરૂપે કરી છે. સાથે પ્રમુખે એજન્ડાની નકલો પણ મુખ્યમંત્રીને ઇ-મેઇલ કરી છે. '2020થી વિકાસના કામમાં અવરોધ ઉભો કરે છે'પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને એવી પણ રજૂઆત કરી છે કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનાં આદેશથી તા. 9/1/2020નાં રોજથી પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી (ભાજપના છ નગરસેવકો જેમાં શૈલેષ મોહનભાઈ પટેલ, મનોજ ખોડીદાસ પટેલ, મનોજ નગરભાઈ પટેલ, ડો.નરેશ દવે, મુકેશ જેઠાભાઈ પટેલ અને બીપીનભાઇ વિકાસનાં કામોમાં રોડા નાંખતા આવ્યા છે અને સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા ભજવતા આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતનાં 1નો પત્રમાં આક્ષેપો કર્યા છે કે, જ્યારથી તેઓ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે ત્યારથી આ સુધરાઈ સભ્યો હંમેશાં કામોને મુલત્વી કે નામંજૂર કરવામાં આવે છે. 'કોંગ્રેસની મદદથી કામોને મંજૂર નથી થવા દેતા'તેમણે કહ્યું છે કે, જયારે સરકાર મહિલા સશક્તિકરણ માટે મેયર કે પ્રમુખ માટે પ્રોત્સાહિત કરતી હોય અને મહિલાઓ માટે 33% બેઠકો ફાળવીને સત્તામાં ભાગીદારીનું પ્રાવધાન કરતી હોય ત્યારે આ લોકો વિકાસના કામોમાં રોડાં નાંખી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, તા.30/10/2025ની સામાન્ય સભામાં આ લોકોએ કોંગ્રેસનાં પાંચ સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે નામંજૂર કર્યા હતાં. જેમાં જે કામો નામંજૂર કર્યા તેમાં સાયરનની ખરીદી, ગાર્ડનનાં સ્ટ્રીટ લાઈટનો મુદ્દો, નગરપાલિકાનું નવું બિલ્ડીંગ બનાવવા માટે સરકારની ગ્રાન્ટ મળતી હોવા છતાં તે કામનાં ખર્ચની બહાલીનાં કામોને નામંજૂર, ડ્યુરેબલ રોડ બ્રશની ખરીદીનો ખર્ચે, કચરો બાળવાનું મશીન, કેનાલ પર સોલાર સિસ્ટમ, વિગેરેનો સમાવેશ થતો હતો. 'સભામાં અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી' દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હિરલબેન પરમારે જણાવ્યું કે, 30 ઓક્ટોમ્બરના દિવસે અમારી સામાન્ય સભા મળી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ આગળના દિવસે સંકલન સભા મળતી હોય છે. એની અંદર કામો મંજૂર-નામંજૂર એ નક્કી થઈ જતાં હોય છે. એના અનુસંધાને 30 તારીખના દિવસે જે સામાન્ય સભાની અંદર અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવી. જે જેની અંદર ના-મંજૂર, મંજૂર અને મારી જે 1થી 10 બાહલીઓ હતી, જે સરકારના વિકાસના કામોની હતી. 'આવા સભ્યો સામે કડક કાર્યવાહી કરી પગલાં લેવા જોઈએ'સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વખતે જે મોકડ્રિલ કરવામાં આવી હતી, એ મોકડ્રિલના અનુસંધાને કલેક્ટરની સૂચનાના અનુસંધાને અમે એને બાહાલ આપેલી હતી. એવા બધા પ્રશ્નો જે હતા એને ના-મંજૂર કર્યા અને વિકાસના રોડ-રસ્તાના જે કામો હતા એને મુલતવી કે ના-મંજૂર રાખી અવરોધરૂપ બન્યા. એ બાબતે મેં મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી અને રજૂઆત કરી છે કે આવા સભ્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવા જોઈએ. આ પણ વાંચો: પાટણ પાલિકાની સભામાં શાસક પક્ષે વિપક્ષની ભૂમિકા ભજવી! મોટાભાગના કામો મુલતવી અને નામંજૂર કરાયા
એર ટ્રાફિક કંટ્રોલ ફ્લાઇટ પ્લાનિંગને ટેકો આપતી AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે આજે પણ અમદાવાદથી અસર કરતી અનેક ફ્લાઇટ ડીલે થઈ હતી. AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અસરદિલ્હીથી અમદાવાદ આવતી રાત્રે 12 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 2 ફ્લાઇટ 6E 6792, 163ની ફલાઇટ 2 કલાકથી વધુ સમય મોડી પડી હતી. જ્યારે સ્માર્ટ વિંગ્સની SG 8193ની ફલાઇટ 3 કલાકથી વધુ સમય મોડી પડી હતી. તો ઈન્ડોગોની 6E 2308ની ફલાઇટ જે સવારે 6:05 વાગ્યે દિલ્હીથી ટેક ઓફ થવાની હતી, જે હજી શિડ્યુલ બતાવવામાં આવી રહી છે. જ્યારે આકાશા એરની પણ QP 1334ની ફલાઇટ 10:40એ દિલ્હીથી ટેક ઓફ થવાની હતી, પરંતુ હજી થઈ નથી તે પણ શિડ્યુલ બતાવવામાં આવી રહી છે. જ્યારે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં,
પંચમહાલ LCBએ ₹61.53 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:મોરવા(હ)ના વાડોદર ગામેથી ત્રણ આરોપીની ધરપકડ
પંચમહાલ એલસીબી પોલીસે મોરવા(હ) તાલુકાના વાડોદર ગામેથી ₹61.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹77.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાતમી મુજબ, એક ટાટા એલ.પી. ટ્રક (નંબર GJ23 V 8258) માં ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. આ ટ્રકનું પાઇલોટિંગ મારૂતિ સ્વીફ્ટ કાર (નંબર RJ03 CC 2638)નો ચાલક સંજેલી તરફથી સુલિયાત થઈ મોરવા હડફ તરફ આવી રહ્યો હતો. આ ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરી ટ્રક અને પાઇલોટિંગ કારને પકડી પાડ્યા હતા. ટ્રકની તપાસ કરતાં, તેમાંથી કુલ 18304 બોટલો અને ક્વાર્ટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત ₹61,53,144/- થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹10,00,000/- ની ટાટા એલ.પી. ટ્રક, ₹5,00,000/- ની સ્વીફ્ટ કાર, ₹27,000/- ની 90 મગફળીની બોરીઓ, ₹1,000/- ની તાડપત્રી અને ₹100/- નું દોરડું પણ સામેલ છે. આમ, કુલ ₹77,16,244/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પરેશભાઈ શાન્તભાઈ ચારેલ (રહે. લખણપુર, દાહોદ), ઇરફાનખાન યુસુફખાન પઠાણ (રહે. સલોપાટ, રાજસ્થાન) અને અબ્દુલ ફારૂક એહમદખાન પઠાણ (રહે. સલોપાટ, રાજસ્થાન) એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી (રહે. ચાચકપુર, દાહોદ) અને અસ્ફાક અબ્દુલ્લા ઝબા (રહે. ગોધરા, પંચમહાલ)ને સહ આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવા માટે બૂટલેગરો દ્વારા અપનાવાતી અવનવી તરકીબો ફરી એકવાર પકડાઈ ગઈ છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણ જેવા જીવનજરૂરી માલસામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની ધરપકડ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. લસણના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરીની બાતમી મળીગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી પરમારની ટીમ અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાન પાર્સિંગનું એક મહિન્દ્રા પીકઅપ ડાલુ (RJ-02-GB-6617) લસણના 24 કટ્ટાની નીચે વિદેશી દારૂ સંતાડીને ગાંધીનગર-સરખેજ હાઈવે પરથી થોળ (કડી) તરફ જઈ રહ્યું છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 50 પેટીઓ છુપાયેલી મળી આવીએલસીબીની ટીમ બાતમી આધારે તાત્કાલિક અડાલજ કેનાલ પાસે વોચ ગોઠવી દઈ બાતમી વાળા ડાલાની કાગડોળે રાહ જોઈ હતી. દૂરથી ડાલુ આવતું જોઈને એલસીબી ટીમે હાથનો ઈશારો કરતા જ ડ્રાઈવર ઊભો રહી ગયો હતો. બાદમાં પિકઅપ ડાલાની તલાશી લેતા પાછળના ભાગે વ્યવસ્થિત રીતે ગોઠવેલા લસણના કટ્ટા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની 50 પેટીઓ છુપાયેલી મળી આવી હતી. જેની ગણતરી કરતા 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખેલ દારૂની 2880 બોટલો હોવાનું સામે આવ્યું હતું. દારૂનો જથ્થો થોળ નજીક કોઈ અજાણ્યા ઇસમને આપવાની વાત કરીપોલીસે ડ્રાઈવર રાહુલ રમેશચંદ સોલંકી (ઉ.વ. 27) અને ક્લીનર કુલદીપ શિવજી વ્યાસ (ઉ.વ. 20), બંને (રહે. ઝાલાવાડ, રાજસ્થાન) ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેમના રાજસ્થાની શેઠ અનીલ રમેશચંદ્ર પ્રજાપતિએ ભરી આપ્યો હતો. આ દારૂનો જથ્થો થોળ નજીક પહોંચીને શેઠે આપેલા નંબર ઉપર ફોન કરવાથી એક ઇસમ ડિલિવરી લેવા આવવાનો હતો. પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરીઆ અંગે એલસીબીએ ડ્રાઈવર, ક્લીનર, રાજસ્થાની અનિલ પ્રજાપતિ અને દારૂ મંગાવનાર થોળના ઇસમ વિરૂદ્ધ અડાલજ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી રૂ. 7.08 લાખનો દારૂ, 5 લાખનું પિકઅપ ડાલુ, 12 હજારનું લસણ, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં USDTના નામે ઠગાઇના બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં વેપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો સંપર્ક થતા 10 ટકા કમિશનની લાલચ આપી USDTમાં રોકાણ કરવાના બહાને 31 લાખ પડાવ્યા, જ્યારે અન્ય એક વેપારીને પરિચિત વ્યક્તિએ 1 ડોલર પર 1 રૂપિયા કમિશન આપવાનું કહીને 10 લાખ રૂપિયાના USDT મેળવીને પૈસા આપ્યા ન્હોતા. બંને મામલે પોલીસે અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 10% નફો મળશેની લાલચ આપીસોલામાં રહેતા શૈલેષ પટેલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનો વેપાર કરે છે. થોડા સમય અગાઉ તેમને ફેસબુક પર યુવતીનો સંપર્ક થયો હતો. યુવતીએ તેમની સાથે વાતચીત કરીને તેમને ડોલરમાં ઇન્વેસ્ટ કરવાનું જણાવ્યું હતું. શૈલેષભાઈએ યુવતી પર વિશ્વાસ રાખીને વધારે વાતચીત કરી હતી. ત્યારે યુવતીએ ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 10% નફો મળશે તેવી લાલચ આપી હતી. શૈલેષભાઈ યુવતીની વાતો આવી ગયા હતા. ત્યારબાદ યુવતીએ એક લિંક મોકલી હતી, જેમાં શૈલેષભાઈએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શૈલેષભાઈને એક કંપનીમાંથી કોલ આવ્યો હતો. પોતે કસ્ટમર કેરમાંથી હોવાનું જણાવીને અલગ અલગ બેન્ક એકાઉન્ટનો નંબર આપ્યા હતા, જેમાં આરટીજીએસ કરવાનું કહ્યું હતું. 31 લાખ રોકાણ કર્યા બાદ છેતરપિડી થઈ હોવાની જાણ થઈશૈલેષભાઈએ ટુકડે ટુકડે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 31 લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ડોલર માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ પૈસા ભર્યા બાદ તેમને 10%થી વધુનો નફો બતાવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતા પૈસા ઉપડ્યા ન હતા અને તેમને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું. શૈલેષભાઈને વિશ્વાસ આવે તે માટે તેમને 9900 રૂપિયા નફામાંથી ઉપાડવા દીધા હતા, પરંતુ બીજી રકમ ના ઉપાડતા શૈલેષભાઈને શંકા ગઈ હતી. જેથી તેમને વેબસાઈટ પર તપાસ કરી ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની મદદ મેળવી હતી. બાદમાં અમદાવાદ સાયબર ક્રાઈમમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મિત્રના વોલેટમાં 10.62 લાખ રૂપિયાના USDT કરી આપ્યા હતાનરોડામાં રહેતા રાજેશ કટકમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટનું કામ કરે છે. ચાર મહિના અગાઉ તેમના દુબઈમાં રહેતા મિત્ર સતીશભાઈ દ્વારા તેમનો સંપર્ક સતિષભાઈના મિત્ર અખિલ સાથે થયો હતો. અખિલે તેમને જણાવ્યું હતું કે, USDTનું કામ કરો મારી પાસે ઘણા ગ્રાહક છે, પરંતુ સગવડ હોવાથી રાજેશભાઈએ ના પાડી હતી. ત્યારબાદ 12 ઓગસ્ટના અખિલે રાજેશભાઈને વ્હોટ્સએપ કોલ કરીને કહ્યું હતું કે, મારે એક પાર્ટીને દસ લાખ રૂપિયાનું USDT કરવાનું છે તમે કરશો તો ભારતીય એક રૂપિયા કમિશન પેટે આપીશ. જેથી રાજેશભાઈએ તેમના મિત્ર સતીષભાઈને કહ્યું હતું કે, મારી સ્થિતિ હાલ ખરાબ છે અને મારા બાઈનેન્સ બ્લોક થઈ ગયા છે. જેથી તમે મારા મિત્ર સાગર જાનીના બાઈનાન્સ વોલેટમાં USDT કરી આપો. સતિષભાઈએ રાજેશભાઈના મિત્ર સાગરના વોલેટમાં 10.62 લાખ રૂપિયાના USDT કરી આપ્યા હતા. મારા ખાતામાં પૈસા નથી આવ્યા કહી આરોપી 10 લાખ લઈ જતો રહ્યોUSDT આવ્યા બાદ રાજેશભાઈએ અખિલનો સંપર્ક કર્યો હતો.અખિલે રાજેશભાઈને સી.જી રોડ પર ઇસ્કોન આર્કેડ ખાતે મળવા માટે બોલાવ્યા હતા. અખિલ અને તેની સાથે એક્ટિવા લઈને આવેલા વ્યક્તિએ રાજેશભાઈને એક્ટિવાની ડેકીમાં દસ લાખ રૂપિયા બતાવ્યા પણ હતા. રાજેશભાઈએ તેમના મિત્રના વોલેટમાંથી 90.80 રૂપિયાના ભાવે 11,013 USDT અખિલના વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. ટ્રાન્સફર કર્યા બાદ અખિલે કહ્યું કે, મારા વોલેટમાં હજુ પૈસા આવ્યા નથી જોકે રાજેશભાઈએ સ્ક્રીનશોટ પણ મોકલ્યા છતાં અખિલ માનતો ન હતો. મારા વોલેટમાં આવ્યા નથી જેથી 10 લાખ રૂપિયા નહીં આપું તેમ કહીને રાજેશભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. રાજેશભાઈએ વારંવાર ફોન કરતા અખિલ જવાબ આપતો ન હતો. રાજેશભાઈએ અખિલ અને અન્ય વ્યક્તિ વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં શનિવારે સંકટ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો જામફળ અર્પણ કરાયા હતા. સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન ગણેશ યુવક મંડળ દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં સાંજે 6:45 કલાકે આરતી થઈ હતી. રાત્રે 8:42 કલાકે ચંદ્રદર્શનનો વિશેષ સમય રહ્યો હતો. ભક્તોએ ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કર્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ રવિવારે યોજાશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારતક વદ પાંચમ, રવિવારે અષ્ટવિનાયક મંદિરના પાંચમા પાટોત્સવે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 10:15 કલાકે ધ્વજારોહણ અને બપોરે 12:39 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બપોરે 1 કલાકે આરતી કરવામાં આવશે. યજ્ઞના યજમાન બાબુલાલ સોનાજી પુરોહિત છે.
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગત ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ આકાશભાઈ પંકજભાઈ સોલંકી (ઉંમર 25) તરીકે થઈ છે. તેઓ મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની હતા અને પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. ઘટના 6 નવેમ્બર, 2025 ના રોજ સાંજે છ વાગ્યાના સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસે બની હતી. આકાશભાઈ તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે NL-07-4330 નંબરના ડમ્પરના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે આકાશભાઈને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રિફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICU માં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ કવાભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
'અમે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ડાભેલ ગામના આશિયાના સોસાયટીના ઘર નંબર 85ના આજુબાજુ પહોંચ્યા હતા. હું અને મારા ટીમના માણસો ઘરની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા, જ્યાં હું પાછળની બાજુ ટીમના માણસો સાથે ઉભો હતો. રાતના અંધારામાં સલમાન લસ્સીએ પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને અમારી ટીમના એક માણસને તેણે પાડી દીધો હતો તો તેણે શરીરના પાછળના ભાગે મુકેલું ચપ્પુ કાઢી મારા ઉપર પ્રથમ વખત હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં મેં મારી જાતને બચાવી લીધી તો બીજી વખત હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જેથી મેં તેના જમણા પગમાં ગોળી મારી દીધી જેથી મારો બચાવ થયો, જો હું સતર્ક ન હોત તો મને ઇજા થઇ હોત. આરોપીએ સુરત શહેરમાં 16થી 17 જેટલા ગુના આચાર્ય છે જેથી અમને થોડો આઇડિયા પહેલાંથી હતો કે આ હુમલો કરી શકે છે. આ શબ્દો છે ક્રાઇમ બ્રાન્ચના PI પી.કે. સોઢાના..જેઓએ મધરાતે ઓપરેશન પાર પાડીને સુરતના કુખ્યાત આરોપી સલમાન લસ્સીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલોતારીખ 06 નવેમ્બરના મધરાતે સુરત ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાંથી હત્યા કેસના મુખ્ય આરોપી સલમાન લસ્સીને ઝડપી પાડ્યો હતો. પોલીસ રાત્રે આશરે 3 વાગ્યે ડાભેલ ગામના આશિયાના મોહલ્લામાં સલમાન લસ્સીને પકડવા પહોંચી હતી. પોલીસે તેના ઘરને કોર્ડન કરી તેને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન, સલમાન લસ્સીએ પોલીસ ટીમ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં PIએ સલમાન લસ્સીના પગમાં ગોળી મારી હતી, ગોળી વાગતા તે ઘાયલ થયો હતો. ઘાયલ સલમાન લસ્સીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કઈ હત્યામાં સંડવાયેલો છે સલમાન લસ્સીઆ સમગ્ર મામલો ભેસ્તાનમાં થયેલી એક હત્યા સાથે સંકળાયેલો છે. ભીંડી બજાર સ્થિત અલ ખલીલ ટી સેન્ટર ખાતે સલમાન લસ્સી ગેંગના સભ્યોએ જૂની અદાવતમાં બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની એક સગીર શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત અને અગાઉના એક ઠપકાની બાબત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સોહેલના મિત્ર અને મૃતક શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો, જે માથાકૂટનું કારણ બન્યું હતું. 'શકીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું'હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે? તેમ કહીને હુમલો કર્યો હતો. મૃતક સગીર શકીલ તેના મિત્ર અલ્લુ અને અન્ય મિત્રો સાથે ઉન વિસ્તારમાં ચા પીવા ગયો હતો. આ દરમિયાન, કુખ્યાત સલમાન લસ્સી ગેંગના સભ્યો સલમાન લસ્સી, એમરોજ દાલ ચાવલ અને શાહરૂખ ચપ્પુ, લાકડાના ફટકા અને દંડા જેવા જીવલેણ હથિયારો સાથે અલ ખલીલ ટી સેન્ટર પર ધસી આવ્યા હતા. આ ગેંગના સભ્યોએ સગીર શકીલ અને તેના મિત્ર અલ્લુ પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો.આ જીવલેણ હુમલામાં સગીર શકીલને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 'ટ્રાન્સફર વોરંટથી આરોપીને નવસારી લવાશે'આ મામલે નવસારીના પી.આઈ સાગર આહીરે માહિતી આપતા જણાવ્યું કે, પીઆઇ પરીક્ષિત સોઢાએ હત્યાના આરોપી સલમાન લસ્સી વિરુદ્ધ નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં 17મી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. આગામી સમયમાં પરીક્ષિતસિંહ સોઢાનું નિવેદન નોંધવામાં આવશે. હાલ તો આરોપી સલમાન લસ્સી સારવાર હેઠળ છે તે સાજો થયા બાદ સુરતમાં થયેલા હત્યાના ગુનામાં સ્થાનિક પોલીસની ધરપકડ કર્યા બાદ ટ્રાન્સફર વોરંટથી નવસારી લાવી પી.આઈ ઉપર હુમલા પ્રકરણમાં તેની પુછપરછ કરવામાં આવશે.
વડોદરા એરપોર્ટ પર આજે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જ્યાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નં. 6E 5126 / 6087 (વડોદરા-મુંબઈ) 'ઓપરેશનલ રિજન'ને કારણે રદ કરવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા મુંબઈ જનાર મુસાફરોને વૈકલ્પિક રીતે અન્ય ફ્લાઇટમાં ટિકિટ અથવા રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, દિલ્હીથી વડોદરા આવનારી ઇન્ડિગો એરલાઇન્સની અન્ય એક ફ્લાઇટ પણ એક કલાક જેટલી મોડી પડતાં, એરપોર્ટ પર મુસાફરોને પ્રતીક્ષા અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો.
અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમરેલી ફુલઝર કાંડને લઈ સુરતમાં પાટીદારોની બેઠકસુરતમાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ બેઠકમાં વિજય માંગુકિયા, અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજમાં ફુલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માગ ઊભી થઈ છે. આ પણ વાંચો: બાબરામાં લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલા જુથઅથડામણમાં એકનું મોત કાઠી દરબારોએ પાટીદાર પર હિચકારો હુમલો કર્યો હોવાનો આક્ષેપપાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. આ દરમિયાન, હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયાનો આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા, ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી. આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. 'પોલીસે CCTVને અવગણીને ખોટી રીતે ફરિયાદ કરી'કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આરોપ છે. પરંતુ, સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે. આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે તેમણે દાવો કર્યો છે કે, ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા. એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો. સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે CCTVના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે. ન્યાય માટે પાટીદારો સુરતથી રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે પાટીદાર સમાજ ન્યાયની માગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે. સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે, પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે. સાથે સરકારને ચેતવણી આપી છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે અમરેલી શહેરમાં પ્રતીક ધરણા અને કિસાન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકમલ ચોકમાં આ ધરણા યોજાશે. કોંગ્રેસની મુખ્ય માંગ ખેડૂતોના પાક નુકસાન અંગે દેવા માફ કરવાની છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હોવા છતાં, કોંગ્રેસ દેવા માફીની માંગ પર અડગ છે. બપોરે 12 વાગ્યે રાજ્ય સરકારને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ ધરણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાની હેઠળની કિસાન આક્રોશ રેલી પણ અમરેલી શહેરમાં પહોંચશે. આ રેલી અને ધરણા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહી સરકારનો ઘેરાવ કરશે. છેલ્લા પાંચ દિવસથી કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર પ્રતીક ધરણા કરવામાં આવી રહ્યા છે. આજે અમરેલી શહેરમાં યોજાનારો કાર્યક્રમ આ વિરોધ પ્રદર્શનનો અંતિમ દિવસ છે, જેમાં કોંગ્રેસ આક્રમક રીતે સરકાર સામે વિરોધ નોંધાવશે.
વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર જાહેરમાં અશ્લીલ વર્તન કરતી બે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે સરોધી ગામ નજીક ઢાબા પાસે પેટ્રોલિંગ દરમિયાન આ મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસ ટીમે જોયું કે ઢાબા નજીક ઉભેલી આ બંને મહિલાઓ આવતા-જતા લોકોને અશ્લીલ ઈશારા અને હાવભાવ કરી રહી હતી. આથી પોલીસે સ્થળ પર જ પંચોની હાજરીમાં તેમને ઝડપી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને મહિલાઓ હાલ ગુંદલાવમાં રહે છે અને મૂળ આસામની વતની છે. વલસાડ રૂરલ પોલીસે બંને મહિલાઓના નિવેદન નોંધી ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી હાઈવે વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અશ્લીલ વર્તનની ઘટનાઓમાં વધારો થયો છે. આવી પ્રવૃત્તિઓને રોકવા માટે રૂરલ પોલીસ નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કડક ચકાસણી ચાલુ રાખવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભૂજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ સૌથી ઓછું ઠંડુ ભૂજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે આશરે ₹10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ નિર્ણય લેવાયો છે. જેને લઇને વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી અને રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સહાય પેકેજ ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોમાં પાક નુકસાનના સર્વે માટે 5100 ટીમો કાર્યરત રહી હતી. વલસાડ જિલ્લામાં SDRના ધોરણ મુજબ સર્વે હાથ ધરાયો હતો, જેમાં ડાંગર સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું. રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર ₹22 હજારની સહાય તથા 2 હેક્ટર સુધીની મર્યાદા નક્કી કરી છે. જિલ્લા કલેક્ટર અને DDOના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે સર્વે કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત, 9 નવેમ્બરથી ટેકાના ભાવે કઠોળની ખરીદી શરૂ થશે, જ્યારે ધાન માટે ₹15 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને સમાન સહાય આપવાનો નિર્ણય લીધો છે, જેથી ખેડૂતોને પુનઃસ્થાપિત થવામાં મદદ મળે.
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. આ સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે. ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થી અને વાલીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 188 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવવા માટે સમારોહમાં ઉપસ્થિત રહેશેગોલ્ડ મેડલ મેળવનાર 229 વિદ્યાર્થીઓને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે અને તે અનુસંધાને 188 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે સમારોહમાં ઉપસ્થિત રહે તે માટે કન્ફર્મેશન આપ્યું છે. આ વર્ષે 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાંથી 11,279 વિદ્યાર્થીઓએ જાતે હાજર રહીને ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને કુરિયર મારફતે ડિગ્રી મોકલવામાં આવશે.
વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ ઝડપાયેલા કુલ 1.52 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવશે. ભિલાડ RTO ચેકપોસ્ટ નજીકની ખુલ્લી જમીનમાં સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા ત્રણ મહિનામાં વલસાડ રૂરલ, સીટી અને ડુંગરી પોલીસ મથકો દ્વારા આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન કાયદા અંતર્ગત સઘન કામગીરી હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર દરમિયાન 70 કેસોમાં 31,174 બોટલ વિદેશી દારૂ (રૂ. 84.83 લાખ) જપ્ત કર્યો હતો. વલસાડ સીટી પોલીસ મથકે 1લી જુલાઈથી 7મી ઓક્ટોબર દરમિયાન 55 કેસોમાં 12,531 બોટલ (રૂ. 35.42 લાખ) ઝડપી પાડી હતી. જ્યારે વલસાડ ડુંગરી પોલીસ મથકે 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર દરમિયાન 45 કેસોમાં 17,164 બોટલ (રૂ. 53.05 લાખ)નો જથ્થો પકડ્યો હતો. કોર્ટની મંજૂરી મળ્યા બાદ આ કુલ 1.52 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવશે. આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. આ પગલાથી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવાનો પ્રયાસ થશે અને કાયદાના અમલીકરણમાં વધુ કડકાઈ લાવવામાં આવશે.
રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં રેલનગર વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર સહિતની ટોળકીએ યુવાન પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ ઈજાગ્રસ્ત યુવાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે ફાયરિંગ થયું છે કે કેમ? તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં SOG-ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પોપટપરા નજીક આવેલી અમૃત સોસાયટીમાં થોડા દિવસ અગાઉ વાહન પાર્ક કરવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી ગત મોડીરાતે સંજય રાઠોડ નામના યુવાન પર પાડોશી ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતુ ચાવડા સહિત સાત જેટલા શખસોએ આવી ધોકા-પાઇપ વડે હુમલો કર્યા હતો. એટલું જ નહિ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત સંજય રાઠોડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સાથોસાથ SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે, પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયાનો કોઈ પુરાવો પોલીસને મળ્યો નથી. સમાધાન બાબતે વાતચીત કરે તે પહેલાં જ મારવા લાગ્યાંઃ મીરા રાઠોડઇજાગ્રસ્ત સંજય રાઠોડના પત્ની મીરા રાઠોડએ જણાવ્યું હતું કે, બે ત્રણ દિવસ વાહન પાર્ક કરવા બાબતે પાડોશી ગોવિંદ ચાવડા સાથે બોલાચાલી થઇ હતી. આ પછી સમાધાન પણ થઇ ગયું હતું. દરમિયાન આજે (7 નવેમ્બરની મોડીરાતે) ગોવિંદ ચાવડા ઘર પાસે આંટા મારી સંજય ક્યાં છે? કહી સંજયને બોલાવ કહી માથાકૂટ કરવા લાગ્યા હતાં. બાદમાં સંજય આવતા સમાધાન બાબતે કોઈ વાતચીત કરે તે પૂર્વે જૂની અદાવતનો ખાર રાખી ગોવિંદ રાઠોડ તેનો પુત્ર જીતુ રાઠોડ સહિતનાઓ સાથે મળી પ્રથમ ઢીકાપાટું અને બાદમાં બેઝબોલના ધોકા અને પાઇપ વડે માર મારવા લાગ્યા હતાં. આ લોકો દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ મારા પતિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફાયરિંગ થયાના પુરાવા પોલીસને હાથે લાગ્યા નથી: રાકેશ દેસાઈજ્યારે આ ઘટનાની જાણ થતા રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ, SOG ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાથે સાથે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રાજકોટ શહેર ઝોન 2 ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વાહન પાર્ક કરવાની જૂની માથાકૂટનો ખાર રાખી ગોવિંદભાઇ ચાવડા અને જીતુભાઇ ચાવડા સહિતનાઓએ સંજય રાઠોડ પર હુમલો કર્યો હોવાની જાણ પોલીસને મળી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સંજય રાઠોડ દ્વારા ફાયરિંગ થયા અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે, હાલમાં ફાયરિંગ થયા અંગે કોઈ ચોક્કસ પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી, જેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોરબંદર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ત્રણ આરોપીઓ સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરીને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત, વિસાવાડા ગામના અનિલ ઉર્ફે ખોડો સાજણભાઈ કેશવાલા (ઉંમર 33) વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. ડીવાળાએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે અનિલ કેશવાલાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રાખવાનો વોરંટ ઇસ્યુ કર્યો હતો. ત્યારબાદ, એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાએ વોરંટની બજવણી કરીને આરોપીને સુરત જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ ઉપરાંત, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા પણ ગેરકાયદેસર દારૂના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ આરોપીઓમાં રાણાવાવના આદિત્યાણા બાયપાસ રોડ, નવાપરાના કિશોર સાજણભાઇ ગુરગુટીયા (ઉંમર 24) અને સરમણ પોલાભાઇ ગુરગુટીયા (ઉંમર 36) નો સમાવેશ થાય છે. રાણાવાવ પી.આઈ. એન.એન. તળાવીયાએ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ તેમની પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરીને બંને આરોપીઓને અનુક્રમે વડોદરા અને અમદાવાદ જેલમાં અટકાયતમાં રાખવા પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
પોરબંદર GIDC ફાટકની સમસ્યા:સ્થાનિકોએ મોડીરાત્રે રેલવે સ્ટેશને જઈ રજૂઆત કરી
પોરબંદરમાં ઉદ્યોગનગર GIDC રેલવે ફાટક ન ખુલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. દેવદિવાળી બાદ પણ ફાટક કાર્યરત ન થતા, મોટી સંખ્યામાં નાગરિકોએ મોડી રાત્રે રેલવે સ્ટેશને પહોંચી અધિકારીઓને તાત્કાલિક ફાટક ખોલવા રજૂઆત કરી હતી. આ ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી, જ્યારે નાગરિકોનો સમુહ રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. તેમણે અધિકારીઓને ફાટક તાત્કાલિક શરૂ કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના જવાબદાર આગેવાનો દ્વારા ફાટક ટૂંક સમયમાં ખુલશે તેવી માત્ર જાહેરાતો કરવામાં આવે છે અને ફોટા પડાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં આજ સુધી કોઈ કામ થયું નથી. દિવાળી પહેલા ફાટક શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, 23 દિવસ વીતી ગયા હોવા છતાં ફાટક હજુ પણ બંધ છે, જેના કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નકલી ફર્મ બનાવીને તેના નામે બેંક ખાતાં ખોલાવ્યા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંની હેરફેર કરી હતી. આ ગુન્હામાં સંડોવાયેલ અને અભ્યાસ બાદ નોકરી કરતા યુવાઓ દ્વારા લોકોને છેતરવાનો આ કારસાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી સાથે થયેલી છેતરપિંડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીને અજાણ્યા નંબર પરથી વૉટ્સએપ પર શેર માર્કેટ ટ્રેડિંગના ગ્રુપમાં જોડાવા માટે લિંક મોકલવામાં આવી હતી. ગ્રુપમાં ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવતી હતી. ફરિયાદીને બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને અલગ-અલગ ખાતાઓમાં ટુકડે ટુકડે રૂ. 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ વધારવા માટે રૂ. 1.20 લાખ પ્રોફિટ તરીકે પરત કરવામાં આવ્યા હતા. વેબસાઇટમાં અનેકગણું રિટર્ન બતાવવામાં આવ્યું પરંતુ વિથડ્રો કરવા જતાં પૈસા મળ્યા ન હતા. જેથી ફરિયાદી સાથે કુલ રૂ. 35.30 લાખની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી આઈ જે ડી પરમાર અને ટીમે આરોપીઓની ધરપકડ અને તપાસ અર્થે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું લોકેશન વાવ-થરાદ (બનાસકાંઠા) અને રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે ત્યાં દરોડો પાડીને ત્રણેયને ઝડપી લીધા હતા. આરોપીઓના ખાતામાંથી કુલ રૂ.8 કરોડથી વધુના ફ્રોડના નાણાંની હેરફેર થયાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ જયરાજ મધુભાઇ ખુમાણ (ઉં. 29, અભ્યાસ: બી.એસ.સી., ધંધો: નોકરી રહે: નિલસ સિટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ) સિધ્ધરાજ રાહજીભાઈ રાઠોડ (ઉં. 25,અભ્યાસ: બી.ટેક., ધંધો: વેપાર, રહે: અયોધ્યાનગર સોસાયટી, દીયોદર, વાવ-થરાદ) ધ્રુપલભાઇ દિનેશભાઇ પટેલ (ઉં. 29, અભ્યાસ: બી.સી.એ., ધંધો: નોકરી રહે : 317, અસ્થાનજી કંપાઉન્ડ, સુરત) આરોપીઓની ભૂમિકા આરોપી જયરાજના ખાતામાં ફરિયાદીના રૂ. 1.70 લાખ ટ્રાન્સફર થયા હતા. આ સાથે સિધ્ધરાજ અને ધ્રુપલે આ ખાતું ફ્રોડના નાણાં ટ્રાન્સફર માટે વાપર્યું અને પછી સહઆરોપીઓને સોંપી દીધું હતું. આ ગુન્હામાં આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર લોભામણી જાહેરખબરો દ્વારા લોકોને આકર્ષતા હતા. વૉટ્સએપ ગ્રુપમાં ટિપ્સ આપીને વિશ્વાસ જમાવ્યા પછી બનાવટી એપ અને વેબસાઇટ પર રોકાણ કરાવતા હતા. મોટું પ્રોફિટ બતાવીને વધુ પૈસા પડાવી લેતા અને પછી સંપર્ક તોડી નાખતા હતા. સાયબર સુરક્ષા ટિપ્સ વૉટ્સએપ કે ટેલિગ્રામ પર આવતા રોકાણના મેસેજની પૂર્ણ ચકાસણી કરો. સોશિયલ મીડિયા પરની શેર માર્કેટની જાહેરખબરો પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો કોઈ અજાણ્યાને આપશો નહીં. પોતાનું બેંક ખાતું કે સીમ કાર્ડ કોઈને લાલચમાં આપશો નહીં, તેના ગેરકાયદેસર ઉપયોગ માટે તમે જવાબદાર ઠરશો. સાયબર છેતરપિંડીના ભોગ બનો તો તરત 1930 પર કૉલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.
19 વર્ષની હેલી મોમાયાની માતાનો આક્રોશ, મેં પુત્રી ગુમાવી તેના માટે કોણ જવાબદાર ?
ઘાયલ પ્રવાસીઓમાં માતા-પુત્રનો સમાવેશ, માતાની હાલત વધુ ગંભીર માટુંગામાં રહેતી હેલી સોમૈયા કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતીઃ ટ્રેનમાં ગૂંગળામણ થતાં ફઈ સાથે નીચે ઉતરી ચાલવા લાગી હતીઃ હેલીનો પરિવાર મૂૂળ કચ્છના વરાડિયાનો વતની મુંબઈ - બુધવારે રશ અવર્સમાં જ રેલવે કર્મચારીઓની હડતાલને કારણે સેન્ટ્રલ રેલવેની લોકલો ખોરવાઈ જતાં ટ્રેક પર ચાલી રહેલા પ્રવાસીઓને સેન્ડ હર્સ્ટ્ રોડ સ્ટેશન પાસે એક ટ્રેને અડફેટે લેતાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવાર જનો તેમનાં આપ્તજનોના મોત માટે કોણ જવાબદાર તેવો સવાલ પૂછી રહયા છે. આ ઘટનામાં ૧૯ વર્ષની દીકરી હેલીને ગુમાવનારી માતા શીતલ મોમાયાએ આક્રંદ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસ આંદોલનકારીઓને કેમ ન અટકાવી શકી ? મારાં મોત માટે રેલવે તંત્ર જવાબદાર કે આંદોલનકારીઓ? મેં મારી દીકરી ગુમાવી છે એ હકીકત છે. કોઈના વાંકે સામાન્ય લોકો તેમના સ્વજનો ગુમાવે એ ક્યાંનો ન્યાય છે ?

33 C