વર્ષ 2007માં કતારગામ ખાતે ભાડાના મકાનમાં રહેનારાઓ પાસે વધુ વેરાની ઉઘરાણી નહીં કરવા માટે રૂપિયા 1400ની લાંચ લેનારા સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનના આરોપી સર્વેયરને તકસીરવાર ઠેરવી સ્પેશિયલ પોક્સો અને દસમા અધિક સત્ર ન્યાયાધિશ ભાવેશ કે. અવાશીયાની કોર્ટે ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એપીપી દિપેશ દવે તથા આરોપી તરફે જી.આઇ. દેસાઈએ દલીલો કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપી વિરુદ્ધની ટ્રાયલ છેલ્લાં 18 વર્ષથી ચાલુ છે. આરોપીની ઉપર રહેલી આર્થિક તેમજ કૌટુંબિક જવાબદારીને ધ્યાને લઇને 18 વર્ષથી ન્યાયની રાહ જોઈને બેસેલા છે તે હકિકત પણ ધ્યાને લઇને આરોપીને લઘુતમ સજાથી વધારે અને મહત્તમ સજાથી ઓછી સજા કરવાથી અને યોગ્ય રકમનો દંડ કરવો ન્યાયનો હેતુ જળવાશે તેવું મારું માનવું છે. ફરિયાદી અને તેના ભાઈએ ખરીદેલું મકાન નામ પર કરાવવા માટે વર્ષ 2007માં અરજી આપી હતી, જેની ચકાસણી આરોપી કમલેશ રવજી પટેલ (ઘનશ્યામ પાર્ક સોસાયટી, કતારગામ, ગજેરા સ્કૂલની સામે) કરવાની હતી. સ્થળ તપાસ બાદ આરોપીએ કહ્યું હતું કે મકાનમાં ભાડૂત રહે છે આથી નામ ટ્રાન્સફર કરવા 2200 આપવા પડશે. ફરિયાદીએ અંતે 1400ની લાંચ આપવાનું નક્કી કરી, એસીબીને પણ જાણ કરી હતી અને આરોપી સપડાઈ ગયો હતો. સામાન્ય વ્યક્તિ સ્વીકારીને ચાલે છે કે લાંચકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે કોર્ટે સજા કરતી વખતે ભ્રષ્ટાચારની સમાજ અને દેશ પર શું અસર પડે છે તે તપાસીને સજાનું પ્રમાણ નક્કી કરવુ જોઇએ. ભ્રષ્ટાચારનું દુષણ સરકારી ઓફિસોમાં એટલી હદ સુધી છે કે સામાન્ય વ્યકિત એ સ્વીકારીને ચાલે છે કે કોઈપણ સરકારી કચેરીમાં કામ કરાવવુ હોય તો લાંચ આપવી જ પડશે. જે માનસિકતા આપણા દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. સમાજને આમાંથી બહાર લાવવા અદાલતોએ કડક વલણ દાખવવુ પડશે.
સરાહનીય કામગીરી:લુણાવાડામાં 100 પરિવારોને અનાજ અને ફરસાણ-મીઠાઇ કિટનું વિતરણ
લુણાવાડાની પરમેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે નગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીનેઘરે ઘરકામ કરવા જઈ શકતા નથી કે પોતાની પરિસ્થિતિને કારણે કોઈની આગળ મદદ માંગી શકતા નથી. આવા સ્વાભિમાની અને સાચા જરૂરિયાતમંદ ૧૦૦ પરિવારોને શોધીને અનાજની કીટ તથા ફરસાણ અને મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જાગૃતિ દવેએ જણાવ્યું હતું કે દિપાવલી ઉજાસ, ઉર્જા અને ઉત્સવનો તહેવાર છે.
યુવકની ધરપકડ:એરપોર્ટ પરથી 10 હજાર ડોલર લઈ દુબઇ જતો યુવક પકડાયો
સુરત એરપોર્ટ પર આજે સવારે ડીઆરઆઇની ટીમે એક ઓપરેશન હાથ ધરી દુબઇ જઇ રહેલા એક યુવકની 10 હજાર ડોલર એટલે કે અંદાજે 9 લાખ સાથે અટક કરી હતી. બાદમાં સમગ્ર કેસ કસ્ટમ યુનિટને સુપરત કરવામા આવ્યો હતો. હાલ અધિકારીઓ એ ચકાસી રહ્યા છે કે આ રૂપિયા તેેણે સુરતથી કઇ ચેનલ મારફત મેળવ્યા હતા અને દુબઇથી સુરત કેમ આવ્યો હતો. કેસની તપાસમાં જાણવા મળ્યુ છે કે યુવક મોટાભાગે દુબઇ જ રહેતો અને સુરત કામ અર્થે આવ્યો હતો. હાલ કસ્ટમ વિભાગે ડોલર જપ્ત કર્યા છે. બાતમીના આધારે સવારથી જ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી અને દુબઇ જઈ રહેલી ફ્લાઇટમાં 40 વર્ષીય પેસેન્જર શંકાસ્પદ દેખાતા તેની તપાસ કરવામા આવી હતી. મુંબઇની પણ એક ટીમ એરપોર્ટ પરઆજે સવારે મુંબઇ કસ્ટમની પણ એક ટીમ એરપોર્ટ પર હોવાની વાત વહેતી થઈ હતી. આ ટીમ શા માટે આવી હતી એ જાણી શકાયુ નથી. મોડી સાંજે શહેરના એક સાગર નામ ધારી બુલિયનને ત્યા પણ તપાસની માહિતી મળી છે. જો કે, DRI આ અંગે હજી મૌન સેવ્યુ છે.
તપાસનો ધમધમાટ શરૂ:નસવાડી શિવ નગર વિસ્તારમાં થયેલ ચોરીમાં પોલીસ સાથે ડોગ સ્કવોડ ટીમની તપાસ શરૂ
નસવાડી ટાઉનના શિવ નગર વિસ્તારમા એક નિવૃત સરકારી કર્મચારીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રૂા. 8 લાખથી વધુની ચોરી કરી હતી. નસવાડી પોલીસ નિવૃત કર્મચારી રમેશ રાઠવાની ફરિયાદને લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં નસવાડી પોલીસ વિસ્તારના આજુબાજુમા લગાવેલ સીસીટીવીના ફૂટેજ લઈ કાર્યવાહી શરૂ કરી છે. તસ્કરો બંધ મકાનના તાળા તોડ્યા જે તાળા કઈ વસ્તુથી તોડ્યા અને ઘરમા પ્રવેશ કરી તસ્કરો ઘરની બે તિજોરીમાંથી મોટી માત્રમા સોનાના ઘરેણાં ચોરી ગયા હતા. તસ્કરો કઈ કઈ જગ્યાએ હાથ લગાડેલ છે જેની ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ દ્વારા પણ કાર્યવાહી કરાઈ છે. તસ્કરો જે ઘરમા ચીરી કરી ત્યાંથી ક્યાં રસ્તે ગયા આવ્યા જેને લઈ વડોદરા ડોગ સ્કોવડ ટીમ સ્થળ ઉપર આવી ડોગ સ્કવોડ ટીમ અશ્વિન નદીમાંથી ચુનખાણના રસ્તે રહી ભગવાનપુરા હાઇવે રોડ આસપાસ ડોગ સ્કવોડ ટીમ ઊંભી રહી ગઈ હતી. આ બાબતે તસ્કરો ચોરી કરી ક્યાં રસ્તે નીકળી ગયા તે હજુ નક્કી કરી શકાયું નથી. હાલ તો નસવાડી પોલીસ સાથે ડોગ સ્કોવડ ટીમ અન્ય પોલીસ ટીમ આ બાબતે તપાસ શરૂ કરી છે. હવે તસ્કરોનુ કંઈક પગેરું ક્યારે મળશે જોવું રહ્યું. દિવાળીના તહેવારમા તસ્કરો ચોરી કરતા નસવાડી ટાઉન વિસ્તારમા ફફડાટ ફેલાયો છે. નસવાડીના જીતનગર ગામે રાત્રે તસ્કરોનો હાથ ફેરોનસવાડી ટાઉનમા ચોરી બાદ ગ્રામ્ય વિસ્તાર એવા જીતનગર ગામે એક ઘરમા તસ્કરો હાથ ફેરો કર્યો છે. વિસ્તારના ખેડૂતો હવે ગ્રામ્ય વિસ્તારમા પોલીસ પેટ્રોલીંગ કરે તેવી માંગ ઉઠી છે. તસ્કરો હવે ગામડાઓના ઘરોને નિશાન બનાવતા ગામડાઓમાં રહેતા લોકોમા ફફડાટ ફેલાયો છે.
આજીવન કેદ:15 વર્ષની કિશોરી સાથે બળાત્કાર કરનારને આજીવન કેદ
પાંડેસરામાં વર્ષ 202માં 15 વર્ષની કિશોરી સાથે બળાત્કાર કરનાર અવિનાશ ઉર્ફે આકાશ સિંગને આજીવન કેદ અને બનાવમાં સાથ આપનારા આદર્શ મિશ્રાને 5 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આરોપી અવિનાશ તેની પત્ની સાથે રહેતો હતો અને આસામથી આવેલી કિશોરી પણ તેની સાથે રેહતી હતી. આરોપીએ પત્નીને માર મારતા તેણી કિશોરી સાથે ઘર છોડી સંબંધી ત્યા રોકાઈ હતી. જ્યાં આરોપી અને તેનો મિત્ર કિશોરીને કામ હોવાનું કહી લઈ ગયા હતા કિશોરીને પુછવામા આવ્યુ હતુ કે આરોપી અવિનાશની પત્નીનો કોની સાથે સંબંધ છે. કિશોરી બોલાવી બાદમાં અવિનાશે તેને માર મારી બળાત્કાર પણ ગુજાર્યા બાદ ધમકી પણ આપી હતી.
ધરપકડ:નકલી પોલીસ બની દલાલ પાસેથી અઢી લાખ રૂપિયાના હીરા પડાવ્યા
બનેવી પાસેથી ઉછીના લીધેલા 60 હજાર આપવા સાળાએ નકલી પોલીસ બની સરથાણાના હીરા દલાલ પાસેથી અઢી લાખના હીરા પડાવી લીધા હતા. આ ગુનામાં ગોડાદરા પોલીસે સૂત્રધાર વિમલ બાબુ નસીત(40)(,સ્વામીનારાયણ સોસાઅમરેલી)ની ધરપકડ કરી છે. જ્યારે તેનો બનેવી ધર્મેશ, રાજુ, સાગર અને ઝીલ ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે અઢી લાખના હીરા તેમજ બાઇક સહિત 2.90 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
આજીવન કેદ:સમાધાન માટે બોલાવી છરીથી હુમલો કરી બે યુવાનના હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદ
જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે બોલાવી છરી ધોકાથી હુમલો કરી બે યુવકની હત્યા અને એકને ગંભીર ઇજા કર્યાના આઠ વર્ષ પહેલાના કેસમાં રાજકોટ સેશન્સ અદાલત દ્વારા આરોપી પિતા-પુત્રને આજીવન કેદ તથા માતાને 3 વર્ષની સજા તેમજ ભોગ બનનારને કુલ રૂા. 11 લાખ કંમ્પન્સેશન ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. હરેશભાઈ શીવાભાઈ વસાણીએ તા.08/ 05/ 2017ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈનું મોટર સાઇકલ અને મૃતક વિમલભાઈનું મોટર સાઇકલ સામસામે ભટકાતા જીતેન્દ્રગીરીના બાઇકમાં સામાન્ય નુકશાન થયું હતું. આથી જીતેન્દ્રગીરીએ ઉશ્કેરાઈ જઈ વિમલના મોટર સાઇકલ ઉપર ઘા મારી નુકશાન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે વિમલે હરેશભાઇ વસાણીને ફોનથી વાત કરી હતી અને બન્ને વિમલ સાથે સમાધાન કરવા જીતેન્દ્રગીરીના ઘર પાસે ગયા હતા અને ત્યાં ઉભેલા જીતેન્દ્રગીરીના પિતા ગણપતગીરી ગોસાઈ અને માતા લાભુબેન સાથે સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યારે જીતેન્દ્રગીરી ઘરમાંથી છરી લઈને આવ્યો હતો એ વિમલને પેટમાં આડેધડ ઘા મારી દીધા હતા એવામાં ગામના આગેવાન ગોવિંદભાઈ ભાયાણી અને તેમના પુત્ર લાલજીભાઈ ભાયાણી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને છોડાવવા વચ્ચે પડ્યા તો ગોવિંદભાઈને લાભુબેને ધોકો ઝીંકી દીધો હતો અને જ્યારે જીતેન્દ્રએ લાલજીને પણ છરી મારી દીધી હતી. આથી તમામને જસદણ દવાખાને રીફર કરવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે જીતેન્દ્રગીરી ગણપતગીરી, ગણપતગીરી ગજરાજગીરી તથા લાભુબેન ગણપતગીરી ગોસાઈ સામે હત્યા અને જીવલેણ હુમલા મુજબ ગુનો નોંધી ત્રણેની અટકાયત કરી હતી અને આ કેસ રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં રાજકોટના ધીરજકુમાર એસ. પીપળીયાને સ્પે. પબ્લીક પ્રોસીક્યુટર તરીકે નીમવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદી તરફે અંશ ભારદ્વાજ હાજર રહ્યા હતા.સેશન્સ કોર્ટે જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈ અને ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈને આઈ.પી.સી. કલમ-302 મુજબ આજીવન કેદ અને રૂા.5 લાખનો દંડ, આઈ.પી.સી. કલમ-307 ગુનામાં 5 વર્ષની સજા અને રૂા.50 હજારનો દંડ અને લાભુબેન ગણપતગીરી ગોસાઈને આઈ.પી.સી. કલમ-307 ગુનામાં 3 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યા છે. સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ઉપરોકત સજા તથા દંડ ઉપરાંત વિમલવાસાણીના કુંટુંબને રૂા.5 લાખ અને લાલજી ભાયાણીના કુંટુંબને રૂા.5 લાખ તેમજ ઈજા પામનાર ગોવિંદ ભાયાણીને રૂા. 1 લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો.
જીવનું જોખમ:જૂની જગ્યાએ કંડમની સ્થિતિથી સ્થળ બદલ્યું, ત્યાંય પોપડા ખરવા માંડ્યા
સંખેડા ખાતે વર્ષોથી જૂના દવાખાના કમ્પાઉન્ડમાં ચાલતી બ્લોક હેલ્થ ઓફિસનું સરનામું બદલાયું છે. હવે હનુમાનજીના મંદિરની પાછળ આ બ્લોક હેલ્થ ઓફિસ કાર્યરત કરાઇ છે. સંખેડા ચોરા બસ સ્ટેન્ડ નજીક જૂના દવાખાનાનું કમ્પાઉન્ડ આવેલું છે. આ જૂના દવાખાનાના કમ્પાઉન્ડમાં જ બ્લોક હેલ્થ ઓફિસ કાર્યરત હતી. અત્રે તાલુકા આરોગ્ય અધિકારીની વહીવટી કચેરી બેસતી હતી. જોકે જે મકાનમાં બ્લોક હેલ્થ ઓફિસ કાર્યરત હતી. તેની બાજુમાં આવેલી અન્ય એક કચેરી કન્ડમ થવાની પરિસ્થિતિ હોવાને કારણે બંધ કરાઈ હતી. પીઆઇયુ દ્વારા તેને બંધ કરાયા બાદ બ્લોક હેલ્થ ઓફિસર આ બ્લોક હેલ્થની ઓફિસમાં જ બેસતા હતા. પરંતુ આ ઓફિસ પણ હવે બંધ કરી દેવાઇ છે. તેને બદલે નજીકમાં આવેલા મહિલા સીવણ ક્લાસની પાછળ હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલા જૂના ટીએચઓ ક્વાર્ટરમાં હાલમાં બ્લોક હેલ્થ ઓફિસ કાર્યરત કરાઇ છે. કોઇ શોરશરાબા વગર ઓફિસ અત્રે ખસેડાઇ છે. જે જગ્યાએ બ્લોક હેલ્થ ઓફિસ હવે ખસેડાઇ છે. તે અગાઉ ક્વાર્ટર હોવાને કારણે તેમાં અલગ અલગ રૂમની વ્યવસ્થા છે. અલગ અલગ રૂમની વ્યવસ્થા હોવાને કારણે કર્મચારીઓને પણ બેસીને કામ કરવાની સરળતા રહે છે. જોકે આ ક્વાર્ટરની છતના પોપડા પણ ખરે એવી સ્થિતિમાં છે. જેથી અહીંયા પણ ભવિષ્યમાં કર્મચારીઓના માથે જોખમ ઊભું થાય એવી શક્યતા છે.
રજૂઆત:રાજકોટની AIIMSમાં દર્દીઓ માથે ઝળુંબતું મોત, અનેક બિલ્ડિંગ ફાયર NOC વગર કાર્યરત
રાજકોટની AIIMS હોસ્પિટલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે હવે નવી બેદરકારી છતી થઇ છે. રાજકોટ એઇમ્સમાં ફાયર એનઓસી વગર અનેક બિલ્ડિંગો કાર્યરત કરી દેવાય હોય દર્દીઓ માથે મોત ઝળુંબતું હોય હોસ્પિટલ પ્રશાસનિક અધિકારી અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી ફિક્સ કરી તાત્કાલિક ફાયર એનઓસી મેળવી મોટી દુર્ઘટના બનતી અટકાવવા પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાએ એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે, દેશના આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આજથી એક વર્ષ પહેલાં ‘VRDL’ લેબનું ઉદ્દઘાટન કર્યું હતું જે લેબ કાર્યરત છે, પરંતુ આજદિન સુધી ફાયર એનઓસી મેળવેલ નથી. જે અંગે જવાબદાર કોણ? રાજકોટ એઇમ્સનું જ્યાંથી સંચાલન થાય છે અને ડિરેક્ટરો સહિતના મોટા અધિકારીઓ જ્યાં બેસે છે તેવી એઇમ્સની એકેડેમિક બિલ્ડિંગને પણ સંપૂર્ણ બિલ્ડિંગનું ફાયર એનઓસી મળેલ નથી. એઇમ્સ ‘B’ બિલ્ડિંગ જ્યાં ફાયર એનઓસી વગર 50 બેડ સાથે દર્દીઓના જીવના જોખમે સારવાર ચાલુ છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એઇમ્સના આખી ‘B’ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોવા છતાં બિલ્ડિંગના ત્રીજા માળે દર્દીની સારવાર માટે મેડિકલ આઇસીયુ કાર્યરત છે જેમાં દર્દીઓ અને કર્મચારીઓના જીવના જોખમે 20 બેડનો ઉપયોગ થાય છે જો કોઇ ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એઇમ્સમાં ફાયર એનઓસી માટે કરવામાં આવેલા પત્ર વ્યવહારો અને કરેલા કાર્યવાહીની વિગતો નિયમ અનુસાર સાર્વજનિક કરી જાહેર કરવા માગણી કરવામાં આવી છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા:સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યને મંત્રીપદ મળી શકે
શુક્રવારે સવારે 11 વાગ્યે ખબર પડી જશે કે નવા મંત્રીમંડળમાં કોણ હશે અને કોણ કપાશે? કોને કેબિનેટનો દરજ્જો અપાશે અને કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાશે? આ ઉપરાંત રાજ્યકક્ષાના ક્યા મંત્રીને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે તે પણ સ્પષ્ટ થઈ જશે. હાલ અલગ-અલગ નામ, જ્ઞાતિ ગણિત સહિતના સમીકરણો સૌ કોઈ માંડી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાંથી એવી માહિતી મળી રહી છે કે, સૌરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યને મંત્રીપદ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ જિલ્લામાંથી એકમાત્ર કુંવરજીભાઈને યથાવત્ રખાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જયેશ રાદડિયાને મંત્રીપદ અપાશે કે કેમ? અને કેબિનેટમાં લેવાશે કે રાજ્યકક્ષાની કામગીરી સોંપીને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે તે અંગે કોઈ હાલના તબક્કે છાતી ઠોકીને કહી શકે તેમ નથી. કેટલાક રાજકીય આગેવાનો તો એવું પણ કહી રહ્યા છે કે, રાજકોટ જિલ્લામાંથી માત્ર કુંવરજીભાઈ એક જ મંત્રીપદે હશે. એટલે રાજકોટ શહેરમાંથી પણ એકપણ ધારાસભ્ય મંત્રીપદે નહીં હોય. મુખ્યમંત્રી સહિત 25નું મંત્રીમંડળ રાખવામાં આવે તેવી પણ સંભાવના છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત 24 મંત્રીઓ જેમાં 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓ રખાશે અને રાજ્યકક્ષામાં ચારને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. જ્ઞાતિ ગણિત જોઈએ તો ચાર લેઉવા પટેલને પ્રતિનિધિત્ત્વ આપવામાં આવશે જેમાં 2 કેબિનેટ અને 2 રાજ્યકક્ષા, 2 ક્ષત્રિયમાં 1 કેબિનેટ અને 1 રાજ્યકક્ષા, 1 બ્રાહ્મણ, 2 આદિવાસી તેમાં 1 રાજ્યકક્ષા અને 1 કેબિનેટ જ્યારે દલિત સમાજમાંથી આવતા 1 ધારાસભ્યને કેબિનેટનો હવાલો સોંપવામાં આવે તેવી સંભાવના છે અને આ માટે ઉનાના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજા પર પસંદગી ઉતારાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાંથી જીતુ વાઘાણી, અમરેલીમાં મહેશ કશવાલા, ઉનાના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજા, જૂનાગઢમાંથી સંજય કોરડિયા, પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, જામનગરમાંથી રિવાબા જાડેજા અથવા લીંબડીમાંથી કિરીટસિંહ રાણાને મંત્રીપદ અપાય તેવી શક્યતા છે. સંગઠનમાં પણ ધરમૂળથી ફેરફાર કરાશે મહિલાને અધ્યક્ષપદ અને ચૌધરીને કેબિનેટમાં લઈ જવાય તેવી શક્યતા રાજકોટ | મોડીરાત સુધી ચાલેલી ચર્ચા મુજબ, મહિલા ધારાસભ્યને અધ્યક્ષપદ આપવામાં આવે તેવી શક્યતા છે. તેમાં સંગીતા પાટીલ પર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચાઓ છે. જ્યારે શંકર ચૌધરીને કેબિનેટ મંત્રી બનાવાય તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવાયા બાદ ટૂંક સમયમાં સંગઠનમાં પણ મોટા ફેરફારો આવે તેવી શક્યતા છે. વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે, સંગઠનની આખેઆખી ટીમ પડતી મુકાય તેવી વકી છે અને મંત્રીમંડળની જેમ અમુક સિનિયરને રિપીટ કરીને બાકીના તમામ નવા ચહેરાને સંગઠનમાં લઈ જવાય તેમ મનાય રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાંથી કોઇ અગ્રણીને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી શોપવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.
કાર્યવાહી:લોધિકા તાલુકામાં સરકારી જમીન પર દબાણ કરનારાને રૂ.50 લાખનો દંડ
લોધિકા તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કરનારા બે લોકો સામે મામલતદારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને રૂ.50 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના હરિપર ગામે દબાણની જમીન સરવે નંબર 160 સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ કરવા બદલ મામલતદાર, લોધિકાની કોર્ટ દ્વારા બે અલગ-અલગ કેસમાં દબાણકારોને કુલ રૂ.55,250 નો દંડ ફટકારી દબાણ દૂર કરવા હુકમ કરાયો છે. આ હુકમ જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કરવામાં આવ્યો છે. મામલતદાર, લોધિકાની કોર્ટ દ્વારા હુકમ મળ્યાના 10 દિવસમાં દબાણવાળી તમામ સરકારી જમીનનો કબજો સ્વમેળે અને સ્વખર્ચે ખુલ્લો કરવો અને બિનઅધિકૃત દબાણ બદલ નક્કી કરાયેલ દંડની રકમ હુકમ મળ્યાની તારીખથી એક માસમાં તલાટી-કમ-મંત્રી હરિપર તરવડા ગ્રામપંચાયત કચેરી ખાતે ભરપાઈ કરવા માટેનો હુકમ કર્યો છે.
રાજકોટ મનપામાં ડ્રાઇવરોની ઘટ:અધિકારીઓના એક-એક ડ્રાઇવર છીનવી કામ રોળવવા કવાયત
રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ વિભાગના 81 સહિત 203 ડ્રાઇવર પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા બાદ તેમને મહાનગરપાલિકાએ એક મહિનાનો પગાર ચૂકવી દીધો છે અને છૂટા કરી દીધા છે ત્યારે હવે દિવાળીના તહેવારો શુક્રવારથી શરૂ થઇ રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આગજનીની ઘટના વધી જતી હોય મહાનગરપાલિકા માટે ડ્રાઇવર વગર ફાયર બ્રિગેડ વિભાગની કામગીરી કરાવવી અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. હાલમાં મહાપાલિકાના તંત્રે કામગીરી રોળવવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવેલા બે-બે ડ્રાઇવરમાંથી એક-એક ફાયર બ્રિગેડ શાખાની કામગીરી માટે પરત લઇ લીધાનું સૂત્રોએ જણાવ્યું છે. મનપામાં ડ્રાઇવરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આર.કે. એજન્સી પાસે હતો અને તેમના દ્વારા અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ વિભાગમાં 81, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં 95 અને કંઝર્વન્સી વિભાગમાં 27 ડ્રાઇવર મૂકવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગત ઓગસ્ટ માસમાં આર.કે. એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા સપ્ટેમ્બર માસનો પગાર કોણ ચૂકવે તેવો પ્રશ્ન ઊભો થયો હતો. જેના પરિણામે મહાનગરપાલિકાની વિવિધ શાખામાં ફરજ બજાવતા ડ્રાઇવરો બે વખત હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાએ આ ડ્રાઇવરોને પગાર ચૂકવી દીધો હતો અને આર.કે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા તમામ ડ્રાઇવરને છૂટા કરી દેવા પડ્યા હતા.
ઠગાઇ:ફઇના દીકરાએ કરેલી ઠગાઇના લીધે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે 4.65 કરોડની જીએસટી ભરવી પડશે
શહેરના જીવરાજ પાર્ક પાસે નંદન રેસિડેન્સીમાં રહેતાં અને મોકાજી સર્કલ નજીક આલ્પાઇન થાઈડ્રીમ્સ નામે ટૂર્સ ટ્રાવેલ્સનો ધંધો કરતાં યુવાને અગાઉ એક પેઢી બંધ કરી દીધી હતી તેમ છતાં તેના જીએસટી નંબર જામનગર રહેતાં યુવકના ફઇના દીકરાએ બંધ ન કરાવી જીએસટી નંબર ચાલુ રાખી તેમજ હાલની નવી પેઢીના જીએસટી નંબરનો પણ ઉપયોગ કરી જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રિટર્ન્સમાં ખોટા બિલો વિગતો ભરી વ્યવહાર-વહીવટ કરી નાખતાં ટ્રાવેલ્સના ધંધાર્થીને જીએસટી તરફથી રૂ.4 કરોડ 62 લાખ ભરવાની નોટિસ મળતાં ચકચાર જાગી છે. જીવરાજ પાર્ક 80 ફૂટ રોડ મોટામવા નંદન રેસિડેન્સી રિવેરા પ્રાઇડની સામે 501 ખાતે રહેતાં અને આલ્પાઈન થાઇડ્રીમ્સ પ્રા.લિ. નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતાં પ્રકાશભાઈ પરષોત્તમભાઈ કમાણીની ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રહેતાં પ્રકાશભાઇના ફઇના દીકરા અલ્કેશ હરિલાલ પેઢડિયા અને તપાસમાં ખૂલે તેની સામે પ્રકાશભાઈની પેઢીના જીએસટી આઇડી પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ખોટા બિલોની ડેટા એન્ટ્રી જીએસટી પોર્ટલ પર જીએસટી રિટર્ન્સમાં ભરી ખોટા રેકોર્ડ ઊભા કરી પેઢી ઉપર રૂ.4,62,42,389ની જીએસટી પેનલ્ટીની જવાબદારી ઊભી કરી દીધાનો ગુનો નોંધ્યો છે.
મહિલાને માર પડ્યો:કેવલમ્ પાસે આવાસમાં પાણી ઢોળાવા મુદ્દે મહિલાને માર પડ્યો
યુનિવર્સિટી રોડ પર કેવલમ સોસાયટી પાસે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં રેખાબેન ચેતનભાઇ વૈઠા(ઉ.વ.34)ને સાંજે પાડોશીના ઘરે આવેલા મેહુલભાઈ નામના શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુ મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, રેખાબેન ઘરની સાફસફાઇનું કામ કરતાં હોઇ પાણી ઢોળાઇને બાજુની તરફ જતાં પાડોશી સાથે બોલાચાલી થઇ હતી. આ વખતે પાડોશીના ઘરે આવેલા મેહુલભાઇએ ઉપરાણું લઇ મહિલા સાથે મારામારી કરી હતી.
આગામી તા.31મી ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન બીએસએનએલ તરફથી પુરીપાડવામાં આવનાર સંચાર અને ડેટા ખોરવાય નહીં તે માટે ખોદકામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેવડિયા ખાતે 30 અને 31મીના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેના રાષ્ટ્રકક્ષાના સમારંભ તથા તેને લગતા અન્ય કાર્યક્રમો દરમ્યાન બીએસએનએલ તરફથી સેવાઓ પુરી પાડવામાં આવશે. ઓપ્ટિકલ ફાઇબર કેબલની વડોદરા- ડભોઈ- તિલકવાડા -એકતાનગર તથા વડોદરા- ભરૂચ- રાજપીપળા એકતાનગર લાઈનોથી પુરી પાડવામાં આવનાર સંચાર તથા ડેટા સેવાઓ ખોરવાઇ નહિ તે માટે 21 થી 31મી તારીખ સુધી બંને લાઇનના રૂટ પર ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
અંકલેશ્વર હાંસોટ નેશનલ હાઇવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ પર 70 થી વધુ જોખમી વૃક્ષ હજુ પણ જોવા મળી રહ્યા છે. રોડને અડીને આવેલા વૃક્ષ વાહન ચાલકો માટે જોખમી છે. વાહન ચાલક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવે તો વૃક્ષ સાથે ભટકાવાનો ડર રહેલો છે. કેટલાક વૃક્ષ પર ભયાનક ના નિશાન તો કેટલાક પર જોવા મળતાં નથી. અંકલેશ્વર -હાંસોટ ને જોડાતા દાંડી હેરિટેજ નેશનલ હાઇવે નંબર 228 માર્ગ ડિવાઈડર સાથે ફોર ટ્રેક ક્યારે બનશે તે હજુ સ્પષ્ટ નથી. ત્યારે ડિવાઈડર રહિત આ માર્ગ પર છાશવારે અકસ્માત સર્જાય રહ્યા છે. તેમાં પણ રોડ ને અડી ને આવેલ વૃક્ષો સાથે વાહનો ટકરાવાની ઘટના વધી રહી છે. ગત વર્ષે જ હાંસોટ ના શેરા ગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતા ભાવનગર ના 3 આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો. એ પૂર્વે અંકલેશ્વરના પુન ગામ અશોક ફેક્ટરી પાસે વડોદરાના પરિવારની કાર વૃક્ષ સાથે ભટકાઇ હતી જેમાં પણ બે વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો. આ માર્ગ પર અંકલેશ્વર થી લઇ હાંસોટ સુધી માં 70 થી વધુ વૃક્ષ એવા છે જે રોડને અડી ને આવેલા છે. અને તેની સાથે રોડ પણ જોડાયેલો છે. જે વૃક્ષની શાખા રોડ પર ફેલાયેલી છે. રોડને અડીને આવેલા આવા વૃક્ષ પર રાઉન્ડમાં લાલ નિશાની સાથેના સાઈન બોર્ડ પણ લગાવ્યા છે. જો કે અંધારામાં આ બોર્ડ વાહનચાલકોને નજરે પડતા પણ નથી. સ્ટ્રીટ લાઈટના હોવાથી રાત્રીના અહીં ઘોર અંધારું હોય છે. આવામાં રાહદારી પણ નજરે પડતા નથી. પશુ માર્ગ પર આવી જતા પણ અકસ્માત સર્જાય છે. રોડ અડીને આવેલા વૃક્ષ સાથે કાર ભટકવાના કિસ્સા સૌથી વધુ સામે આવી રહ્યા છે. વન વિભાગ કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આવા જોખમી વૃક્ષને દૂર કરવામાં આવે કે પછી તેને ટેકનોલોજીથી ખસેડવાની માગ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.
વાઈબ્રન્ટ સમિટ યોજાશે:રાજકોટમાં જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ યોજાશે
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાયા બાદ હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ યોજાશે. આ વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થશે. તેમજ વિદેશથી રોકાણકારો આવે તેવી સંભાવના છે. રાજકોટ એ ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચરનું હબ છે ત્યારે નાના-મોટા તમામ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉજ્જવળ તક છે. 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ યોજાશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, અટલ સરોવર અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા ઈન્સ્પેક્શન કરાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન વાઈબ્રન્ટ સમિટમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના એગ્રો પ્રોસેસિંગ, કૃષિલક્ષી ઉદ્યોગો, મશીન ટુલ્સ, ડીઝલ એન્જિન, ઓટોમોબાઈલ, પ્લાસ્ટિક મશીનરી સહિતના ઉદ્યોગો માટે એક મોટી તક મળી રહેશે અને કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થશે. આમ ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટું રોકાણ આવે તેવી સંભાવના છે. જે સ્થાનિક પણ હશે અને વિદેશથી પણ આવશે. આ સમિટમાં વિદેશથી રોકાણકારોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે સ્થળ નિરીક્ષણ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જોકે સ્થળ હજુ નક્કી થયું નથી. આથી, સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આમ વાઈબ્રન્ટ સમિટથી દરેક ક્ષેત્રના ઉદ્યોગોને ફાયદો થશે. તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:રાજપારડી પોલીસે જુગાર રમતા 4 ઇસમો ઝડપી પાડ્યા
રાજપારડી ગામે માધવપુરા ટાંકી ફળિયામાં લાઇટના અજવાળામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેવી માહિતી મળતા પોલીસે સ્થળ તપાસ કરતાં જુગાર રમતા ચાર ઇસમોને પકડીપડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 22 હજારથી વધુનો મુદ્દામલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરેક પોલીસ સ્ટેશનના કર્મીઓ અવાર નવાર જુગાર રમતા ઈસમોને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓના રિપેરિંગ અને નવા રોડના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે મહાપાલિકાએ વેસ્ટ ઝોનમાં નવા ભળેલા વિસ્તારો સહિત છ વોર્ડમાં રૂ.127 કરોડના ખર્ચે નવા ડિઝાઇન કરેલા રોડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરી છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આ મોટું કામ એકીસાથે કરવા નિર્ણય કરાયો છે. નવા બનતા રોડમાં પહેલેથી જુદી-જુદી ભૂગર્ભ લાઇન માટેની જગ્યા સહિતની પ્લાનિંગ ડિઝાઇન હવે કરવામાં આવી છે તે ઉલ્લેખનીય છે. શહેરમાં છેલ્લા ચોમાસ દરમિયાન ધોવાઇ ગયેલા રોડ-રસ્તાઓનું પેચવર્ક કામ પૂર્ણ થઇ ગયું છે અને એક્શન પ્લાન અંતર્ગત હવે નવા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અપાતી ગ્રાન્ટમાંથી રસ્તાના અલગ-અલગ ટેન્ડરો કરવામાં આવે છે, પરંતુ નવા નિયમો મુજબ હવે એક વર્ષમાં એક ટેન્ડર હેઠળ વેસ્ટ ઝોનમાં 6 વોર્ડમાં રોડ પહોળા કરવા અને નવા રોડનું કામ કરવા માટે રૂ.127.14 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોન બાંધકામ શાખાએ કરેલી ટેન્ડર પ્રક્રિયા મુજબ વર્ષમાં રોડ-રસ્તાનું ઝોન દીઠ એક ટેન્ડર નિયમ હેઠળ વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12માં અગાઉ તૈયાર થયેલા રોડ પહોળા કરવા માટે અને મંજૂર થયેલા તેમજ નવી ટીપી અમલમાં આવ્યા બાદ પ્રાપ્ત થયેલા નવા ડામર રોડ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દર વર્ષે ચોમાસા બાદ રાજ્ય સરકાર દ્વારા રસ્તાના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 1લી ઓક્ટોબરથી કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા રાજકોટમાં ભળેલા મોટામવા, માધાપર, મુંજકા, મનહરપુર અને ઘંટેશ્વર વિસ્તારમાં હાલમાં રહેલા અમુક રોડ પહોળા કરવામાં આવશે. તેમજ જે સોસાયટીમાં રોડ રસ્તાની સુવિધા ન હોય અને ગત વર્ષે મેટલિંગ કામ પૂર્ણ થઇ ગયું હોય તેવા વિસ્તારોમાં પેવર રોડ બનાવવામાં આવશે. તેમજ રિંગ રોડ-2 પર ટ્રાફિકનું ભારણ વધતા હવે તેને જોડતા રોડ ભારે વાહનોના વહન કરી શકે તે પ્રકારના બનાવવા આયોજન કરાયું છે.
SDMએ સાંભળી ગ્રામજનોની સમસ્યા:સુરપાણ ગામે રહેવાસીએ પીવાના પાણી,ખરાબ રસ્તાની ફરિયાદ કરી
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતના છેવાડેઆવેલા સુરપાણ (ડુંડાખાલ ફળિયું) ગામની નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌરે મુલાકાત લીધી હતી. આદિજાતિ બહુલ વિસ્તારના આ અંત્યોદય ગામનીમુલાકાત દરમિયાન અધિકારીએ ગામલોકો સાથે જમીન પર બેસી ખુલ્લી ચર્ચા કરી તેમનાં પ્રશ્નો સાંભળ્યા અને ગામના સર્વાંગી વિકાસ માટેની જરૂરિયાતોની નોંધ પણ કરી હતી. સાથેપ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતા પૌષ્ટિક આહારની ગુણવત્તા પણ ચકાસી હતી. ગ્રામજનોએ પીવાના પાણીની સુવિધા, માર્ગ સુધારણા, આરોગ્ય અનેશિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ અંગેના પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીએ દરેક મુદ્દાને સાંભળી જણાવ્યું કે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓઅમલમાં છે. સંબંધિત વિભાગોને સૂચના આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
તંત્રની બેદરકારી:સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતાં વૃદ્ધ દર્દી દાઝી ગયા
સિવિલ હોસ્પિટલ અવાર-નવાર ટોક ઓફ ધી ટાઉનમાં કેન્દ્ર સ્થાને રહે છે. ત્યારે વધુ એકવાર હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે પીડીયુ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે વેન્ટિલેટરમાં ધુમાડો નીકળતાં એક વૃદ્ધ દર્દીની દાઢી સળગી ગઇ હતી અને મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવને પગલે વોર્ડમાં દાખલ દર્દીઓમાં દેકારો મચી ગયો હતો, પરંતુ આ ઘટના બાબતે જવાબદારોને પૃચ્છા કરતા ફરી એકવખત આંખ આડા કાન કરી જવાબદારીથી હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા. આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ, ટીબી વોર્ડમાં વહેલી સવારે એક મોટી ઉંમરના દર્દી સારવાર હેઠળ હોઇ તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. અચાનક વેન્ટિલેટરમાંથી ધુમાડો નીકળવા માંડતાં મશીન ગરમ થઇ જતા વોર્ડમાં દેકારો થવા માંડ્યો હતો. દર્દીની દાઢીનો ભાગ સળગી ગયો હતો અને મોઢા પર ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવની જાણ થતાં સિક્યુરિટીની ટીમ દોડી ગઇ હતી અને તત્કાલ વૃદ્ધ દર્દીને બર્ન્સ વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. સદનસીબે આગ આગળ વધતી અટકી ગઈ હતી. દર્દીને તુરંત જ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ટીબી વોર્ડમાં દોડધામ મચી ગઇ હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ દાઝી ગયેલા દર્દીનું નામ મહમદહુશેન અલ્લારખાભાઇ પંજા-સિપાહી(ઉં.વ.65) છે. આ વૃદ્ધ માંગરોળ જૂનાગઢના વતની છે. તેઓ શ્વાસની બીમારીના ઈલાજ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત તા.14/10ના રોજ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. હોસ્પિટલના સત્તાધીશોએ જાણ કરવી પડે, નથી કરી માટે તપાસ કરશું: પીઆઇ વસાવા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા સાથે આ મુદ્દે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના વોર્ડમાં આગ લાગવાથી દર્દી દાઝ્યા હોય તો તે અંગે હોસ્પિટલના સત્તાધીશોએ વિધિવત રીતે પોલીસમાં જાણ કરવી પડે, પરિવારજનોએ ના કહી તેવો બચાવ ચાલે નહીં, આ મામલે તપાસ કરવામાં આવશે અને ઘટનાને કોઇએ દબાવ્યાનું ખૂલશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ડાયવર્ઝન બનાવવા વેપારીઓની માગ:પુલ ઉપરથી ભારદારી વાહનોની અવર- જવર બંધ કરાતા વેપાર-ધંધાની કમર તૂટી
સંખેડા અને બહાદરપુર વચ્ચે વરસાદ નદીના પુલ ઉપરથી ભારદારી વાહનોની અવર-જવર બંધ છે. ત્યારે હાલમાં નદીમાં પાણી ઓછું હોય નદીના રસ્તે ડાઈવર્ઝન બનાવવાની માંગ વેપારી આલમમાં ઉઠી રહી છે. પુલ ઉપરથી ભારદારી કોમર્શિયલ વાહનોની અવરજવર બંધ હોવાને કારણે સંખેડા નગરના વેપાર ધંધાને ખૂબ જ મોટી અસર થઈ. સંખેડા અને બહાદરપૂર વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદીનો પુલ નબળો પડતા તેની ઉપરથી ભારદારી વાહનોની અવરજવર સંપૂર્ણ પણે બંધ કરાઇ છે. પુલના બંને છેડે બેરીકેટ લગાવાયા છે. પોલીસ તંત્ર દ્વારા અત્રે બંદોબસ્ત પણ સતત 24 કલાકનો ગોઠવાયેલો છે. સંખેડા નગરના વેપારીઓનો મોટાભાગનો માલ સામાન વડોદરાથી આવે છે. વડોદરાથી આવતા માલસામાનના મોટા ભારદારી વાહનો મોટાભાગે ગોલાગામડી થઈ બહાદરપુર થઈ અને સંખેડા આવતા હતા. પરંતુ પુલ ઉપરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરાયેલી હોવાને કારણે હવે આ વાહનોને વાયા ડભોઇ કરનેટ થઈને સંખેડા આવવું પડે છે. આ અન્ય વૈકલ્પિક માર્ગને કારણે સંખેડાના વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રેક્ટરમાં જે સામાન લેવા માટે સંખેડા ખાતે આવતા હતા અને સંખેડાથી સામાન લઈ બહાદરપુર-ગોલાગામડી પંથકમાં જતા હતા તેવા લોકો સંખેડા ખરીદી કરવા આવતા જ બંધ થઈ ગયા છે. આશરે ત્રણ મહીનાથી આ સ્થિતિ સર્જાયેલી છે. હાલમાં ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો છે જેને કારણે નદીના રસ્તે ડાઈવર્ઝન બનાવવાની માંગ વેપારી આલમમાં ઉઠી રહી છે. હાલમાં સંખેડા તરફ જ્યાં બેરીકેટ લગાવેલા છે ત્યાંથી નદીમાં ઉતરી સામેની બાજુએ બહાદરપુર સ્મશાન પાસેથી જે રસ્તો પસાર થાય છે. ત્યાંથી બહાદરપુર સુધી ભારદારી વાહનો નીકળી શકે એવી સ્થિતિ છે. નદીમાં પૂર આવવાની શક્યતા ઘણી ઓછી છે. સિવાય કે સુખી ડેમમાંથી પાણી છોડાય તો એ પાણી ભારજ નદીમાં થઈ ઓરસંગ નદીમાં આવે. પરંતુ જોજવા પાસેના આડબંધના દરવાજા બંધ કરી એ પાણીને વઢવાણા તળાવ તરફ વાળી દેવાય તો સંખેડા બાજુ પાણીનો પ્રવાહ પણ ઓછો આવી શકે અને ડાયવર્ઝન બને તો તેને નુકસાન પણ ઓછું થાય. ડાઈવર્ઝન બનાવાય તો વેપારીઓની મુશ્કેલી દૂર થાય પુલ ઉપરથી મોટા ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે. તેને કારણે વેપારીઓને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે ચોમાસુ પૂરું થયું છે. ત્યારે નદીમાં ડાઈવર્ઝન બનાવવામાં આવે તો વેપારીઓને પડતી મુશ્કેલી દૂર થાય એમ છે. > દીપેશ વર્મા, વેપારી, સંખેડા ડાયવર્ઝન બને તો તમામ સમસ્યાઓનો હલ આવેબહાદરપુર અને આગળના ગામોમાંથી અનેક લોકો ટ્રેકટર લઈને સંખેડામાલ સામાન લેવા માટે અનેક લોકો આવતા હતા. પણ ભારદારીવાહનોની અવર-જવર બંધ કરાતા દરેક વેપારીના ધંધા ઉપર મોટી અસરપડી છે. જેથી ડાયવર્ઝન બને તો આ તમામ સમસ્યાઓનો હલ આવે એમછે. > નવીનભાઈ પટેલ, વેપારી, સંખેડા
દાહોદ જિલ્લા પ્રશાસન દ્વારા દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને ફટાકડાંના વેચાણ અને ઉપયોગ અંગે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–2023ની કલમ 163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ હુકમ જાહેર કરાયો છે. જે 28 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે.દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસર પગલા લેવા માટે સત્તા અપાઇ છે. જાહેરનામા મુજબ ફટાકડાં ફોડવા અને વેચાણ માટે ચોક્કસ નિયમો નક્કી કરાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માત્ર ઓછું પ્રદૂષણ કરતા ગ્રીન ફટાકડાં જ માન્ય રહેશે. ભારે ઘોંઘાટવાળા તથા બાંધેલા ફટાકડાં પર પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડાં બનાવવામાં બેરિયમના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. ફટાકડાંનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે, જ્યારે હંગામી લાયસન્સ લીધા વગર કોઈપણ વેન્ડર, લારી-ગલ્લા કે ટેમ્પરરી શેડ બાંધીને વેચાણ કરી શકશે નહીં. ઇ-કોમર્સ વેબસાઈટ દ્વારા ઓનલાઇન વેચાણ પણ પ્રતિબંધિત છે. ફટાકડાં ફોડવા માટે સમય મર્યાદા પણ નક્કી કરાઈ છે. દિવાળી અને અન્ય તહેવારોમાં રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડાં ફોડી શકાશે જ્યારે ક્રિસમસ અને નૂતન વર્ષના દિવસે રાત્રે 11.55 થી 12.30 વચ્ચે જ ફટાકડાં ફોડવાની મંજુરી છે. હોસ્પિટલ, શાળા, ન્યાયાલય અને ધાર્મિક સ્થળોના 100 મીટર વિસ્તારને સાઈલન્ટ ઝોન જાહેર કરાયો છે જ્યાં કોઈપણ પ્રકારના ફટાકડાં ફોડવા નહીં. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 223 મુજબ કાર્યવાહી થશે. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસર પગલા લેવા માટે સત્તા અપાઇ છે.
ફાયર ડિઝાસ્ટર રોકવાનો પ્રયાસ:દહેજ જીઆઇડીસીમાં 150થી વધારે કર્મીને અગ્નિશમનની તાલીમ આપવામાં આવી
ભરૂચ જિલ્લાનું દહેજ ભારતનું સૌથી વિશાળ તેમજ પીસીપીઆઈઆર એરિયા છે. જ્યાં આશરે 3500 થી 4 હજાર જેવા નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. ફેકટરીમાં ટ્રેનિંગના અભાવે તેમજ અજ્ઞાનતા વશ અનેક પ્રકારના આગ તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે. આવા સમયે કામદારોને અકસ્માત, આગ, સુરક્ષા અને સલામતી તેમજ કોઈપણ જાતના ડિઝાસ્ટર ને પહોંચી વળવા માટે તાલીમ આપવી ખુબ જ જરૂરી છે. દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંકુલમાં ડાયરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના માર્ગદર્શનથી હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સયુંકત ઉપક્રમે મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 150 જેટલા કામદારોએ તાલીમમાં ભાગ લીધો હતો. ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંત તજજ્ઞોએ બેસીક ટ્રેનિંગ ઓન, ફર્સ્ટ એડ, ફાયર-સેફટી એન્ડ સીકયુરીટી વિષય પર પ્રેકટીકલ તેમજ થીયેરી ટ્રેનિંગ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભરૂચ જિલ્લામાં આગ તેમજ અકસ્માતોની દુઘર્ટના ઘટાડવા માટે ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.બી.ગામીતે ઉદ્યોગોને ટ્રેનિંગ આપવાની મુહીમ શરૂ કરવામાં આવી
તાપી જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાનાં સાતેય તાલુકા વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણમાં માર્ગોની જાળવણી અને સુધારણા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં મુખ્ય માર્ગો સાથે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગ સુવિધા સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તાપી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદને લઈને માર્ગો જર્જરીત બની ગયા હતા.વરસાદી મોસમ બાદ અનેક જગ્યાએ માર્ગોમાં ખાડા તથા કિનારાના ભાગોમાં ઘાસજંગલ ઉગવા લાગતાં વાહનવ્યવહારને મુશ્કેલી ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા તાત્કાલિક અધિકારીઓને સુચના આપી વિભાગ દ્વારા માર્ગોના પેચ વર્ક, કિનારાની સફાઈ, જંગલ કટીંગ અને વૃક્ષોને ગેરુ-ચૂનાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી માર્ગો વધુ સુરક્ષિત અને દૃશ્યમાન બન્યા છે. તાપી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા માર્ગોના નવીનીકરણ અને રીસરફેસીંગના કામો પણ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોને મુખ્ય માર્ગો સાથે વધુ સારી રીતે જોડવા માટે પણ વિભાગ તત્પરતાપૂર્વક કાર્યરત સ્થાનિક લોકોનો કહેવું છે કે, તહેવારોની સિઝન પહેલા માર્ગોની જાળવણી થવાથી મુસાફરીમાં સહેલાઈ થઈ છે અને વાહનવ્યવહાર હવે વધુ આરામદાયક અને સુરક્ષિત બન્યો છે.
ગરમીથી લોકો થયા ત્રસ્ત:ભરૂચ જિલ્લામાં તાપમાન 34 ડિગ્રી પહોંચતા ગરમીનો અનુભવ
ભરૂચ જિલ્લામાં આજે તાપમાન વધતાં ગરમી અનુભવાઇ હતી. જ્યારે વહેલી સવારે ઠંડી પણ અનુભવાય હતી. આમ છેલ્લા બે દિવસથી સતત તાપમાન વધી રહ્યું છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 32 થી 57 ટકા અને પવનની ગતિ 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન વધીને 36 ડિગ્રી થવાની સંભાવના છે. જેના કારણે ગરમી વધતા ભેજનું પ્રમાણ ઘટવાની શક્યતા સેવાઇ રહી છે. પવનની ગતિ માં ઘટાડો થતાં ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી જીવાતો સામે રક્ષણ મેળવી શકશે. સાથે પાક ના વિકાસ માટે ખાતરનો ઉપયોગ કરી શકશે. ઉલેખનીય છે કે, આ વર્ષે જિલ્લામાં ખેતીલાયક વરસાદ પડતાં કપાસના પાકને સૌથી વધુ લાભ થશે. જિલ્લામાં આ વર્ષે વહેલો વરસાદ શરૂ થયો હતો અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને વરાપ મળતા વાવેતર પણ વધ્યું છે.આમ જિલ્લામાં સીઝનનો એવરેજ 993.56 મિમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 1452 મિમી અને સૌથી ઓછો વરસાદ આમોદ 385 મિમી પડ્યો હતો. આ વર્ષે પડેલા વરસાદના કારણે નદી કિનારા વિસ્તારમાં આવેલા કેટલાક ખેતી પાકને પાણી ભરાવવાના કારણે કેટલાક પાકમાં નુકશાન થયું હતું. સાથે કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા તેમ છતાં કોઈ વ્યાપક નુકશાન થયું હતું નહીં.
પ્રવાસન સચિવ દ્વારા કામગીરીની સમીક્ષા:મહેમાનો એકતાનગરની સારી છાપ લઈને જાય તેવું આયોજન કરો
એકતા નગર ખાતે આગામી તારીખ 30 અને 31 મી ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાંરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેની વિવિધ સમિતીઓ દ્વારા પૂર્વ તૈયારી પૂર જોશમાંકરવામાં આવી રહી છે. આ કામગીરીની સમીક્ષા અર્થે ગુજરાત પ્રવાસન નિગમના સચિવડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં ગુરૂવારે વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તેમણે એકતાનગર તથા વિવિધ સ્થળે ઊભા કરવામાં આવનારા ડોમ, પાર્કિંગ સેડ અને રોડ રસ્તા સહિત તમામ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના પરખાસ ભાર મૂક્યો હતો. સાથે સાથે કચરા કલેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને અન્યપ્રાંતમાંથી આવતા વીવીઆઈપી-મહેમાનો એકતાનગરની સારી છાપ લઈને જાય તેવું આયોજન બદ્ધપ્રોટોકોલ મુજબ કાર્ય કરવા તેમજ ફાયર સેફ્ટી, સ્ટોલ સેફ્ટી અને ફૂડ સેફ્ટી જળવાઈ રહે તે માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સાઈક્લોથોન અંગે પણ જાણકારી આપીહતી. જેમાં સહભાગી થનારા સાઈકલિસ્ટો અહીં આવે ત્યારે તેમની ઉષ્માભેર આગતા સ્વાગતા-સત્કાર થાય અને એકતાનગર સાઈકલિસ્ટ માટેનું એક ડેસ્ટિનેશન બની રહે તે દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.
દિવાળી વેકેશન:પ્રાથમિક શાળામાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન
ભરૂચ જીલ્લાની પ્રાથમિક શાળામાં અંદાજે 80 હજારથી વધુ વિધ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ છે. સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પરીક્ષા પૂરી થતાં હવે વિધાયર્તિઓને 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી દિવાળીનું વેકેશન શરૂ થયું છે અને 5 નવેમ્બરે વેકેશન પૂર્ણ થશે. જ્યારે પ્રાથમિક શાળામાં 17 ઓક્ટોબરથી એટલે આજથી 6 નવેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ 21 દિવસનું દિવાળી વેકેશન મળતા શાળાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લેન્ડ ગ્રેબિંગ:કાળીયાબીડમાં ઇલોરા માર્કેટ બિલ્ડીંગની અગાશીમાં ત્રણ દુકાનો ચણી પચાવી પાડી
કાળિયાબીડ વિસ્તારમાં એક બિલ્ડીંગની અગાશી ઉપર ત્રણ દુકાનો ચણી લઇ, બોગસ દસ્તાવેજ થકી નામ ચડાવી, ત્રણ દુકાનો પચાવી પાડવાના કૌભાંડમાં વધુ ત્રણ નામચીન શખ્સોના નામ ખુલવા પામ્યા છે. જેમાં હાલમાં જેલમાં રહેલા પદુભા ગોહિલ અને મહાવીરસિંહ ગલકુ અને ત્રીજા આરોપીમાં ગોપાલ મકવાણા ત્રણેય વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થવા પામી છે. જેમાં ગોપાલ મકવાણા ફરાર થઇ ગયો છે. ભાવનગરના લખુભા હોલથી વિરાણી સર્કલ જવાના રોડ પર આવેલ ઇલોરા માર્કેટ નામની બિલ્ડીંગમાં દુકાન નં. 9 થી 15ની ઉપર આવેલ અગાશીની માલિકી ધરાવતા એક મહિલાએ જુદી જુદી મિલ્કતો બોગસ દસ્તાવેજો પચાવી પાડનાર મહાવીરસિંહ ગલકુ, પદુભા ગોહિલ તેમજ ગોપાલ મકવાણા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ત્રણ દુકાનો પચાવી પાડવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એક ફરિયાદી મહિલા ઇલોરા માર્કેટની દુકાનં. 9 થી 15 સુધીના ઉપરના ભાગની અગાશી તેમના માલિકીની છે. જેમાં આ બિલ્ડીંગના રિ-કન્સ્ટ્રક્શન સમયે તેમના અગાશીની જગ્યામાં ત્રણેય શખ્સોએ ગેરકાયદેસર રીતે ત્રણ દુકાનો ચણી લીધી હતી
યુવકને માર માર્યો:સગાઈની દાઝ રાખી પાંચ શખ્સોએ નાની માંડવાળીના યુવકને મારમાર્યો
ભાવનગર જિલ્લાના નાની માંડવાળી ગામે રહેતા એક યુવકના દિકરાની સગાઇની દાઝ રાખી પાંચ શખ્સોએ યુવકના ઘરે જઇ તોડફોડ કરી, દરાવાજા તોડી નાંખ્યા હતા અને યુવક ઘરે ન મળી આવતા પાંચ શખ્સોએ છરી, લોખંડના પાઇપ સાથે બે કારમાં યુવકનો પીછો કરી, તળાજા રોયલ ચોકડી નજીક યુવક ઉપર હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતા યુવકે તળાજા પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તળાજાના નાની માંડવાળી ગામે રહેતા હર્ષદદાન નાનાભાઇ બાટીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દિકરા જયપાલભાઇની સગાઇ આલાપર ગામે કરેલ હોય જે શક્તિદાન, નવલદાન, મહાવીર બાટી, હરપાલ બાટી અને નિલેશ બાટીને ગમતી વાત ન હોય જેથી સગાઇની દાઝ રાખી પાંચેય શખ્સો હર્ષદદાનના ઘરે પહોંચ્યા હતા અને હર્ષદદાન ઘરે મળી ના આવતા ઘરમાં તોડફોડ કરી યુવકના પત્નિને ગાળો આપી ફરાર થયા હતા બાદમાં પાંચેય શખ્સો બે કારમાં છરી, લોખંડના પાઇપ સાથે હર્ષદદાનો પીછો કરી, તળાજાના રોયલ ચોકડી નજીક હર્ષદદાનભાઇ ઉપર પાંચેય શખ્સોએ જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં હર્ષદદાનને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં હર્ષદદાને તળાજા પોલીસ મથકમાં શક્તિદાન, નવલદાન હનુભાઇ બાટી, મહાવીર નવલભાઇ બાટી (રહે. ત્રણેય અલાપર, તા. તળાજા), હરપાલ પ્રવીણભાઇ બાટી (રહે. નાના માંડવાળી), નિલેશ સમરથદાન બાટી (રહે. ભાવનગર) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટેની સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી શકે છે. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. મંત્રીમંડળનું કદ વધી શકે છેરાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે. છેલ્લી ઘડીએ સમીકરણો બદલાઈ શકે છે, જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે. શપથ વિધિને લઈ પોલીસનો ચુસ્તબંદોબસ્તનવા મંત્રીઓની શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અન્વયે 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર, 30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલને મળશેઆજે સવારે રાજ્યપાલને મુખ્યમંત્રી જુના મંત્રીમંડળના રાજીનામાં આપશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે. સવારે 9:00 વાગ્યાની આસપાસ રાજ્યપાલને મુખ્યમંત્રી મળવા જાય તેવી શક્યતા છે. CM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી16 ઓક્ટોબરની સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને રિસીવ કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન જગદીશ વિશ્વકર્મા પ્રાઇવેટ કારમાં જોવા મળ્યા હતા. તેમણે સહકાર મંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી સરકારી કાર પરત જમા કરાવી દીધી હતી. ત્યાર બાદ મોડી રાત્રે CM હાઉસમાં જે.પી. નડ્ડા, જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી વચ્ચે મંત્રમંડળની રચના-પસંદગી માટે બેઠક મળી હતી. મોડી રાત્રે મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન કરાયાજૂના મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેમની નવા મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવી છે તેમને મોડી રાત્રે ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જોકે, 16 ઓક્ટોબરના રાજીનામા આપ્યા બાદ મોટાભાગના મંત્રીઓ અંગત સામાન પ્યૂન અને પીએ મારફતે ગાડીમાં સામાન ભરીને લઈ ગયા હતા. જૂના મંત્રીઓની ચેમ્બર ખાલી કરવા કર્મચારીઓ કામે લાગ્યાજૂના મંત્રીઓએ રાજીનામા બાદ ચેમ્બર ખાલી કરી દીધી હતી. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુબેર ડીંડોર અને બળવંત સિંહ રાજપૂતની ચેમ્બરો ખાલી કરી હતી. ફાઈલો સહિતના દસ્તાવેજોને થેલામાં ભરવા કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને જૂના મંત્રીઓની નામની પ્લેટ પણ ઉતારી લીધી હતી. MLA ક્વાર્ટર્સ ખાતે 40 જેટલા ધારાસભ્યો પહોંચ્યા હતાજોકે, બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને પગલે મોડી સાંજે MLA ક્વાર્ટર્સ ખાતે 40 જેટલા ધારાસભ્યો પહોંચ્યા હતા. આ દરમિયાન એક સાવ નવી ઇનોવા હાઇક્રોસ ગાડી પડેલી જોવા મળી હતી. નવા કેબિનેટમાં આદિવાસી ધારાસભ્યોને મહત્વનું સ્થાન આપવામાં આવશે તેવી અટકળો વચ્ચે લાંબોધનના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારના સભ્ય સાથે MLA ક્વાર્ટર્સ પહોંચ્યા હતા. આ દરમિયાન વધુ એક નવી ઇનોવા કાર MLA ક્વાર્ટર્સ ખાતે ઊભી જોવા મળી હતી. આ કાર સાંણદના ધારાસભ્ય કનુભાઈ પટેલના નિવાસસ્થાનની બહાર ઉભી હતી. જોકે, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનું નામ પણ ચર્ચામાં છે. કોળી પટેલ તરીકે મંત્રી પદ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સુનીલ બંસલની સર્કિટ હાઉસમાં રત્નાકર-ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ સાથે મુલાકાત16 ઓક્ટોબરના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ-પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટ બેઠક યોજાશેસામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. જેને ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક ગુરુવારે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને જે હવે વિસ્તરણ પછી જ બેઠક યોજાશે. નવા મંત્રીમંડળના બે માસ સુધી કામચલાઉ સ્ટાફની પસંદગીઆજે નવા મંત્રીમંડળ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે. ત્યારે આ મંત્રીઓના હોદ્દા ગ્રહણ કર્યાની તારીખથી આગીમી બે માસના સમયગાળા માટે અથવા જ્યાં સુધી નિયમિત સ્ટાફની નિમણૂક ન કરવામાં આવે ત્યાં સુધી કામચલાઉ સ્ટાફની પસંદગી કરવામાં આવી છે. મહાત્મા મંદિરમાં તૈયારીઓ કરાઈશપથવિધિ માટે મહાત્મા મંદિરમાં જોરશોરથી તૈયારીઓ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધુ તક મળવાની શક્યતારાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે. કયા મંત્રી પડતા મુકાઈ શકે છે ?કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયા, ઉપરાંત રાજ્યકક્ષાના જે મંત્રીઓ પડતા મુકાવાની શક્યતા છે એમાં મત્સ્ય અને પશુપાલના મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે. કયા નવા ચહેરાનો સમાવેશ થવાની શક્યતા? પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી(રાજુલા), સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા અથવા તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં ધર્મપત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવવા અમરેલી જિલ્લાના ત્રણ ચહેરા ચર્ચામાંસૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં એપીસેન્ટર રહેલા અમરેલી જિલ્લામાંથી પણ કોઇ એકને મંત્રીપદ મળી શકે છે. વર્ષ 2017માં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી, જોકે વર્ષ 2022ની વિધાનસભામાં ભાજપે કોંગ્રેસનો એકદમ સફાયો કરી દીધો હતો. આ ઉપરાંત નગરપાલિકાથી લઇને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો જ ભગવો લહેરાયેલો છે. બીજી તરફ પાટીદાર અને કોળી સમાજનું અહીં હંમેશાં પ્રભુત્વ રહ્યું છે. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠક પર પાટીદાર ધારાસભ્યો છે, જ્યારે એક બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે. કોળી સમાજમાંથી આવતા અને રાજ્ય સરકારમાં વર્તમાનમંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી જો તેમને રિપીટ ન કરવામાં આવે તો કોળી સમાજમાંથી આવતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને મંત્રીપદ મળી શકે છે. બીજી તરફ જો પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી આવતા કૌશિક વેકરિયા અથવા મહેશ કસવાલા બેમાંથી એક પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે. વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રખાશેજિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર અને પૂર્વ નેતાઓ નારાજ હોવાથી વ્યક્તિગત કાર્યાલયો ખોલી દીધાં છે અને તેમણે આવનારા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી ચૂંટણીમાં પક્ષપલટો કરી વર્તમાન ધારાસભ્યો સામે ચૂંટણી લડવા થનગનાટ કરી રહ્યા હોય એવો પણ સ્થાનિક લેવલે ગણગણાટ શરૂ થઇ ગયો છે. જિલ્લાની ધારી બેઠક જૂનાગઢની વિસાવદર બેઠકને અડીને આવેલી હોવાથી અહીં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ અવરજવર વધી ગઇ છે, જેને લઇને કેટલાક સિનિયર આપમાં જોડાઇ જાય એવી પણ સ્થિતિ ઊભી થઇ શકે છે, જેની માહિતી હાઇકમાન્ડમાં પહોંચી હોવાથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનું પણ ગણિત શઇ શકે છે. અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે? 3 વર્ષથી મંત્રીમંડળમાં એકપણ ફેરફાર કરાયો નથી, 2027ની ચૂંટણીની તૈયારી2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમની સાથે અન્ય 16 મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીનો સમાવેશ થાય છે. ત્રણેક વર્ષથી મંત્રીમંડળમાં એકપણ ફેરફાર કરાયો નથી. બીજી બાજુ 2027ની ચૂંટણીની તૈયારી પણ કરવાની છે. ભાજપ હાઇકમાન્ડની અપેક્ષાઓ પૂરી કરવામાં મોટાભાગના મંત્રીઓ નિષ્ફળરાજકીય તજજ્ઞો જણાવે છે કે, ભાજપ હાઇકમાન્ડે જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂરી કરવામાં હાલની સરકારના મોટાભાગના મંત્રીઓ નિષ્ફળ ગયા છે. ઉપરાંત તાજેતરમાં યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના મોટાભાગના નેતાઓ વિસાવદરમાં ઉતરી પડ્યા હતા. આમ છતાં તેઓ વિસાવદર બેઠક જીતાડી શક્યાં નથી. જેની અસર પણ વિસ્તરણમાં દેખાશે. વિસાવદરની ચૂંટણીએ કેટલાય નેતાનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છેવિસાવદરની પેટા ચૂંટણી ભાજપના કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની હતી. આ ચૂંટણીએ કેટલાય નેતાઓનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. જેનો પડઘો વિસ્તરણમાં પડશે. મંત્રીમંડળના વિસ્તરણને આધારે ખ્યાલ આવી જશે કે વિસાવદરની બેઠક ભાજપે ગુમાવી તેની કયા નેતા કે ધારાસભ્ય કે મંત્રી પર કેટલી વિપરીત અસર પડી, કોને કેટલો ફાયદો થયો અને કોને કેટલું નુકસાન થયું. ડેમેજ કન્ટ્રોલ માટે કેટલાક જૂના જોગીઓને પાછા લવાશે?રાજકીય ચર્ચા છે કે, 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક જીતીને ભાજપને ચિંતિત કરી દીધી છે. જેથી ભાજપ પણ હવે કોઇ રિસ્ક લેવા માંગતો નથી. ભાજપમાં જે શક્તિશાળી ગણાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણની જરૂર કેમ પડે છે? એન્ટી ઇન્કમ્બન્સીથી બચવા મંત્રીમંડળનું વિસ્તરણગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ બાદ સતત બદલાવો આવતા રહ્યા છે. આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી સરકારનાં અચાનક રાજીનામાં લેવાયાં અને હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ બદલાવ આવી રહ્યો છે. અલબત્ત, એમાં મંત્રીમંડળના ચહેરા પૂરતી વાત સીમિત રહી શકે છે, પરંતુ આ તમામ વખતે બદલાવ ત્યારે જ આવ્યા જ્યારે ગુજરાતની જનતામાં સત્તાપક્ષને લઇને એન્ટી ઇન્કમ્બન્સીની અસર ખૂબ વર્તાવા લાગે છે. હાલની સરકારના ઘણા મંત્રીઓ અસક્ષમ સાબિત થયા અને સરકારી કામોમાં કુનેહનો અભાવ દેખાવા લાગ્યો. કેટલાંક લોકોને કારણે સમગ્ર પક્ષની છબિ ખરડાય તેના બદલે સુધારાત્મક કામ કરવાનો ભાજપના નેતા નરેન્દ્ર મોદીનો વ્યૂહ હંમેશા રહ્યો છે. જાન્યુઆરીમાં પાલિકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. 2021માં મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું હતું4 વર્ષ પહેલાં ભાજપ હાઇકમાન્ડે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખી સૌને ચોંકાવ્યા હતા. કોઇને અંદાજો પણ ન આવે એ રીતે સર્જાયેલા આખા ઘટનાક્રમમાં વિજય રૂપાણી રાજીનામું આપવા રાજભવન પહોંચી ગયા હતા. તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નેતૃત્વમાં 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક પર ઐતિહાસિક જીત મળી હતી.
રાજકોટ સમાચાર:મવડીમાં 22.4 લાખની અપસેટ કિંમત સામે દુકાનનો ભાવ 57.70 લાખ આવ્યો
રાજકોટમહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41-એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની જાહેર હરરાજી યોજાઇ હતી. જેમાં મનપાને 4.66 કરોડની આવક થઇ છે. 12 દુકાનોની હરરાજીમાં અપસેટ કિમત રૂ.273.95 લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂ.466.5 લાખ મળી છે. આ 12 દુકાનો પૈકી દુકાન નં. ક 1ની અપસેટ કિમત રૂ. 22.4 લાખ રાખવામાં આવી હતી. જેની સામે હરરાજીની કિમત રૂ. 57.70 લાખ આવતા 12 દુકાનમાં સૌથી ઉચી ઉપજ થઈ છે. દિવાળી પૂર્વે મવડીના આ શોપીંગ સેન્ટરમાં મનપાને સારો એવો ભાવ મળ્યો છે. આથી હવે તુરંતમાં અન્ય દુકાનોની હરરાજી કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. હજુ નજીકના ભવિષ્યમાં અન્ય લોકેશન પર હરરાજી હાથ ધરવામાં આવનાર હોય મહાપાલિકાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું અથવા એસ્ટેટ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે. ન્યુ રાજકોટના છ વોર્ડમાં નવા ડિઝાઇન રોડ બનાવવા 127 કરોડના ટેન્ડરરાજકોટ મહાપાલિકા દ્વારા નવરાત્રી બાદ ચોમાસામાં ધોવાયેલા રસ્તાના રિપેરિંગ તેમજ નવા રોડના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્રણેય ઝોનમાં એક્શન પ્લાન હેઠળ કામગીરી ચાલુ છે. આ દરમ્યાન, મહાપાલિકાએ વેસ્ટ ઝોનના નવા ભળેલા વિસ્તારો સહિતના છ વોર્ડમાં રૂ. 127.14 કરોડના ખર્ચે નવા ડિઝાઈન રોડ બનાવવાના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે.રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ટેન્ડરના નવા નિયમ મુજબ આ મોટું કામ એક સાથે કરવા માટે વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 1,8, 9,10, 11 અને 12માં રોડ પહોળા કરવા અને નવા રોડ બનાવવાનું કામ હાથ ધરાશે. નવા બનતા રોડમાં પહેલેથી ભૂગર્ભ લાઈન માટેની જગ્યા સહિતના પ્લાનિંગ અને ડિઝાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઝોન વિસ્તારમાં ગત ચૂંટણી પહેલા ભળેલા મોટા મવા, માધાપર, મુંજકા, મનહરપુર અને ઘંટેશ્વરના અમુક રોડ પહોળા કરાશે. તેમજ જે સોસાયટીઓમાં રોડ-રસ્તાની સુવિધા ન હોય અને ગયા વર્ષે મેટલિંગ કામ પૂર્ણ થયું હોય ત્યાં પેવર રોડ બનાવવામાં આવશે. રીંગ રોડ-2 ઉપર ટ્રાફિકનું ભારણ વધતા, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોને જોડતા રોડને ભારે વાહનોનું વહન કરી શકે તે રીતે પહોળા અને મજબૂત બનાવાશે. વોર્ડ નં. 18માં આવેલ રેમ્બો રેસીડેન્સીના પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગીરાજકોટ શહેરની રેમ્બો રેસીડેન્સીના પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વોર્ડ નં. 18, વિનોદનગર ટાંકા પાસે, રેમ્બો રેસીડેન્સી પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળતી હતી. બનાવની જાણ થતાં સાથે જ કોઠારીયા ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ તકે કોઠારીયા ફાયર સ્ટેશનના સાજિદભાઈ, પ્રેમજીભાઈ, જીજ્ઞેશભાઈ, મેહુલભાઈ, અર્જુનભાઈ પરમાર અને અર્જુનભાઈ ભરવાડ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.
ગોધરા તાલુકાના આંગળીયા ગામે 14 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે થયેલી સવલીબેન દેવીસિંહ રાઠવા (ઉંમર 54)ની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ગોધરા તાલુકા પોલીસે આ ગુનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં મૃતકના પતિ દેવીસિંહ જનાભાઈ રાઠવા જ હત્યારા નીકળ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક સવલીબેન રાઠવા પોતાના ઘરે સૂતા હતા ત્યારે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇસમે હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ દેવીસિંહ જનાભાઈ રાઠવાએ ફરિયાદ નોંધાવી હતી. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 332(ક) અને જી.પી. એક્ટ 135 હેઠળ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતે નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલ અને ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપીની ધરપકડ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે LCB ગોધરા અને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, ફરિયાદી દેવીસિંહ રાઠવા પર શંકા જતા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક સાથે ઘરકંકાસ થતો હતો. આ ઘરકંકાસના કારણે દેવીસિંહ રાઠવાએ રાત્રિના સમયે પોતાની પત્ની સવલીબેનના માથા અને મોઢાના ભાગે હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. આમ, LCB ગોધરા અને ગોધરા તાલુકા પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આરોપી દેવીસિંહ જનાભાઈ રાઠવા (રહે. આંગળીયા ડુંગર ફળિયું, તા. ગોધરા, જિ. પંચમહાલ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. અસોડા (ગોધરા તાલુકા પો.સ્ટે.), પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી. સેલોત (ગોધરા તાલુકા પો.સ્ટે.), એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન (LCB ગોધરા), એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ (LCB ગોધરા), એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ પુંજાભાઈ (LCB ગોધરા), આ.હે.કો. ભુપેન્દ્રસિંહ નાથુસિંહ (LCB ગોધરા), અ.હે.કો. સુનીલભાઈ નાનુભાઈ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. મહેશભાઈ મોતીભાઈ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. ધર્મરાજસિંહ દલપતસિંહ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. સત્યજીતસિંહ દિગવિજયસિંહ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. કમલેશકુમાર કેશવભાઈ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. ધર્મેન્દ્રકુમાર સામંતસિંહ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. હેમરાજસિંહ મહેન્દ્રસિંહ (ગોધરા તાલુકા પો.સ્ટે.), અ.પો.કો. સિધ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ (ગોધરા તાલુકા પો.સ્ટે.) અને શૈલેષકુમાર બચુભાઈ (LCB ગોધરા) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઇને કોઇ બાબતે લઇ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતાં વૃધ્ધ દર્દી ગંભીર રીતે દાઝી ગયા હતા. વેન્ટીલેટરમાંથી ધુમાડા નિકળતા વૃધ્ધ મોઢાનાં ભાગે દાઝયા હતા. જેને લઈને થોડીવાર માટે દોડધામ થઈ હતી. જોકે, વેન્ટીલેટરમાં માત્ર ધુમાડા નીકળ્યા હોવાનો અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો બચાવ અધિક્ષકે કર્યો હતો. વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધ દાઝ્યાપ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના માંગરોળમાં કાજીકા ફળીયામાં રહેતા મહમ્મદ હુસેન અલ્લારખાભાઇ પંજા (ઉ.વ.65) નામના વૃદ્ધને શ્વાસની બીમારી હતી. ગત તા.14ના રોજ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા તેમને ટ્રોમા સેન્ટરના બીજા માળેલ આવેલા ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટીલેટર આપવામાં આવ્યુ હતું. દરમિયાન ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તેમને મોઢા ઉપર ગરમ લાગતા જાગી ગયા હતા અને જોતા વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થયુ હતુ. વેન્ટીલેટરનુ માસ્ક તેમના મોઢા ઉપર લગાવેલુ હોવાથી તેઓ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું હતું. ઇન્ચાર્જ RMO સહિતના અધિકારીઓ ટીબી વોર્ડમાં દોડી ગયા હતાઆ દરમિયાન વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળતા વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી. દર્દી મહમ્મદ હુસેન મોઢાના ભાગે દાઝી જતા તેમને તાત્કાલીક બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અને તબિબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. મોડીરાત્રે બનેલી દુર્ઘટનાને પગલે સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા, ઇન્ચાર્જ RMO ડો. દુસરા સહિતના અધિકારીઓ ટીબી વોર્ડમાં દોડી ગયા હતા અને વેન્ટીલેટરમાં શોર્ટસર્કિટ કેવી રીતે થયુ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છેસમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતમાં સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું હતું કે, વેન્ટીલેટરમાં કોઇ સ્પાર્ક પણ થયો નહોતો. માત્ર થોડો સ્મોક (ધુમાડો) થયો હતો. જેના કારણે દર્દીને મોઢાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે હાલમાં દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હવે દર્દીને વેન્ટીલેટર કે ઓક્સિજનની પણ જરૂર નથી. અને તેમની સ્થિતિ સામાન્ય છે. જોકે આ ઘટના વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે થઇ કે અન્ય કોઈ કારણોસર તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગરની ગ્લોરિયસ પબ્લિક સ્કૂલમાં પ્રકાશ પર્વના પ્રારંભ પૂર્વે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સતત આઠમા વર્ષે શાળાના મેદાનમાં 11,000થી વધુ દીવડા પ્રગટાવી આતશબાજી સાથે ઉત્સવ મનાવાયો હતો. આ ઉજવણીમાં સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા. આ વર્ષે ૧૧,૦૦૦થી વધુ દીવડાઓને મેદાનમાં 'ઓપરેશન સિંદૂર', 'RSS 100 વર્ષ', 'જયશ્રીરામ', 'શ્રી', 'શંખ' અને 'સ્વસ્તિક' જેવા વિવિધ આકારોમાં ગોઠવવામાં આવ્યા હતા. આ દીવડાઓની કૃતિઓ 60 ફૂટ લંબાઈ અને 92 ફૂટ પહોળાઈમાં બનાવવામાં આવી હતી, જેમાં 'ઓપરેશન સિંદૂર' અને 'RSSના 100 વર્ષ'ની શતાબ્દીની પ્રતિકૃતિઓ મુખ્ય હતી. આ દીપ પ્રાગટ્ય માટે 1400 વિદ્યાર્થીઓ અને 90 શિક્ષકોની મદદ લેવામાં આવી હતી. કુલ 60 લિટર તેલ અને રૂની દિવેટોનો ઉપયોગ થયો હતો. આ 11,000 દીવડા પ્રગટાવવામાં અંદાજે 30 મિનિટનો સમય લાગ્યો હતો. આકાશમાંથી લેવાયેલા ડ્રોન દ્રશ્યો પણ અદ્ભુત લાગી રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ આતશબાજી પણ કરવામાં આવી હતી. ગ્લોરિયસ સ્કૂલના આચાર્ય ઋષિરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હિંમતનગરના હસ્તિનાપુર વિસ્તારમાં આવેલી આ શાળામાં છેલ્લા આઠ વર્ષથી ક્રમશઃ 1500, 2500, 3500, 4500 અને ગત વર્ષે 8000 દીવડાઓ પ્રગટાવવાની પરંપરા રહી છે, જે આ વર્ષે 11,000નો આંકડો વટાવી ગઈ છે.
મોરબીમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ:કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી
મોરબીમાં ડીવાયએસપીની આગેવાની હેઠળ શહેર અને તાલુકા પોલીસ, એલસીબી તથા એસઓજીની ટીમો દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં ખાસ કરીને કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અનેક વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા અને કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે એસપી મુકેશકુમાર પટેલની સૂચના મુજબ ડીવાયએસપી પી.એ. ઝાલાની આગેવાનીમાં આ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ, વીસી ફાટક અને નવલખી રોડ જેવા મુખ્ય સ્થળો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. HSRP નંબર પ્લેટ ન હોય, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી કે તૂટેલી નંબર પ્લેટવાળા વાહનો અને ફોર વ્હીલરમાં ડાર્ક ફિલ્મ લગાડેલ હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ઘણા વાહન ચાલકો પાસેથી સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે અન્યને મેમો આપવામાં આવ્યા હતા અને અમુક વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમો તેમજ એલસીબી અને એસઓજીના પીઆઇ સહિતની ટીમો હાજર રહી હતી.
રાજકોટ જિલ્લાના જસદણના નવા જશાપર ગામે વર્ષ 2017માં બાઈક અથડાયા જેવી સામાન્ય બાબતમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ડબલ મર્ડર કેસમાં પિતા ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈ અને પુત્ર જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે જ્યારે જિતેન્દ્રની માતા લાભુબેનને 3 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતક વિમલભાઈ શિવાભાઈ વાસાણી અને લાલજીભાઈ ગોવિંદભાઈ ભાયાણીના પરિવારને 5-5 લાખ અને ઈજાગ્રસ્ત ગોવિંદભાઈને રૂ.1 લાખ વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. વાહન અથડાવવા બાબતે માથાકૂટ થઇ હતી ફરીયાદી હરેશભાઈ શિવાભાઈ વાસાણીએ તા.08.05.2017ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તા.07.05.2017ના રોજ આરોપી જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈનું વાહન અને મૃતક વિમલભાઈનું વાહન અથડાયું હતું જેમાં આરોપી જીતેન્દ્રગીરીના વાહનમાં સામાન્ય નુકસાન થયું હતું જેથી આરોપી જીતેન્દ્રગીરીએ ઉશ્કેરાઈ વિમલભાઈના વાહન ઉપર ઘા મારી નુકસાન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે વિમલભાઈએ ફરીયાદી હરેશભાઇને વાત કરી હતી. આ પછી આ સમાધાન માટે ફરીયાદી અને મૃતક વિમલભાઈ આરોપી જીતેન્દ્રગીરીના ઘરે ગયા હતા ત્યાં જીતેન્દ્રગીરીના પિતા ગણપતગીરી અને માતા લાભુબેનને હાજર હતા અને આપણે એક જ ગામના છીએ સામાન્ય બાબતમાં ઝઘડો કરીએ સારું ન લાગે તેમ કહી વાતચીત શરૂ કરી હતી. સમાધાન માટે આરોપીના ઘરે ગયા ત્યારે છરી વડે હુમલો કર્યો વાતચીત દરમિયાન થોડી વારમાં આરોપી જીતેન્દ્રગીરી ઘરમાંથી છરી લઈને બહાર આવ્યો અને વિમલને પેટમાં ચાર ઘા મારી દીધા હતા જેથી દેકારો થતા ગામના આગેવાન ગોવિંદભાઈ ભાયાણી અને તેમના પુત્ર લાલજીભાઈ ભાયાણી દોડી આવ્યા હતા તેઓ વચ્ચે પડતા ગણપતગીરીએ પણ છરી કાઢી હુમલો કર્યો હતો જેમાં લાલજીને વધુ ઈજા પહોંચી હતી અને લાભુબેને લાલજીભાઈને માથામાં ધોકો મારી લીધો હતો. બનાવ બાદ વિમલ અને લાલજીભાઈને જસદણ સરકારી હોસ્પિટલ લઈ જવાતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા જ્યારે ગોવિંદભાઈને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બંને આરોપી પિતા પુત્રને આજીવન કેદની સજા ફટકારવામાં આવી બનાવની ગંભીરતા ધ્યાને લઈ સરકારે સ્પેશ્યલ પીપી તરીકે સિનિયર એડવોકેટ ધીરજ પીપળીયાની નિમણુંક કરી હતી. આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે 23 સાહેદોને તપાસવામાં આવ્યા હતા. અને સ્પેશ્યલ પીપી દ્વારા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે, તપાસવામાં આવેલ ડોકટરે પણ મરણજનારને થયેલ ઈજા મૃત્યુ નીપજી શકે તેવી હોવાનું તારણ રજૂ કર્યું છે. આ ઉપરાંત ઈજા પામનાર ગોવિંદભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંના ડોકટરે પણ ઈજા પામનારને ગંભીર પ્રકારની ઈજા થયેલ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી હથિયાર તથા મરણજનાર અને ઈજા પામનારના કપડાઓ પણ કબ્જે કરવામાં આવ્યા હતા. તમામ સાહેદોની જુબાનીને ન માનવાને કોઈ કારણ રહેતું નથી અને આરોપીઓને તકસીરવાન ઠરાવવા માટેની દલીલ કરવામાં આવી હતી જે દલીલોને ધ્યાને લઈને સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા જેમાં જીતેન્દ્રગીરી અને ગણપતગીરીને આજીવન કેદની સજા ફટકારી બંનેને મળી કુલ રૂ.11 લાખ 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે મહિલા આરોપી લાભુબેનને મહાવ્યથાના ગુનામાં 3 વર્ષની કેદ અને રૂ.50,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટ પર DRIનું ઓપરેશન:9 લાખના ડૉલર સાથે દુબઈ જતો યુવક ઝડપાયો
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે આજે સવારે સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી છે. દુબઈ જઈ રહેલા એક 40 વર્ષીય મુસાફરને DRIની ટીમે 10,000 અમેરિકી ડૉલર એટલે કે અંદાજે રૂ. 9 લાખની બિનહિસાબી વિદેશી કરન્સી સાથે ઝડપી પાડ્યો હતો. DRIએ આ કેસ વધુ તપાસ માટે કસ્ટમ યુનિટને સોંપી દીધોDRIને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવક શંકાસ્પદ હાલતમાં જણાતાં તેની તલાશી લેવાઈ હતી, જેમાં આટલી મોટી રકમ મળી આવી હતી. પ્રાથમિક કાર્યવાહી બાદ DRIએ આ કેસ વધુ તપાસ માટે કસ્ટમ યુનિટને સોંપી દીધો છે. કસ્ટમ અધિકારીઓએ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, યુવકે આ વિદેશી ચલણ કઈ ચેનલ મારફતે મેળવ્યું હતું અને સુરત આવવા પાછળ તેનો ચોક્કસ હેતુ શું હતો. હાલમાં ડોલર જપ્ત કરી લેવાયા છે. બુલિયન ટ્રેડર પર તપાસના સંકેતઆ કેસના તાર હવાલા અને બુલિયન નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકા છે. મોડી સાંજે શહેરના એક સાગર નામધારિ બુલિયન ટ્રેડરના ત્યાં પણ તપાસના સમાચાર છે. આ ઉપરાંત, સવારે મુંબઈ કસ્ટમની એક ટીમ પણ એરપોર્ટ પર હાજર હોવાની માહિતી મળી હતી. જોકે, DRI આ મામલે મૌન સેવી રહી છે, જે સૂચવે છે કે તપાસ ગુપ્ત રીતે ચાલી રહી છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફ ખાનપુર પાસે બાગબાન નામની નવી બાંધકામ સાઈટ બની રહી છે. જેમાં અશાંતધારાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. બાંધકામ સાઇટ વિવાદમાં કોર્ટ દ્વારા યથાવત સ્થિતિ જાળવવા અંગેનો સ્ટે આપ્યો હોવા છતાં પણ બાંધકામ ચાલુ હોવા અંગેની રજૂઆત આજે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં કરવામાં આવી હતી. ભાજપના ચેરમેન અને સભ્ય દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટનું ધ્યાન દોરવા અને તપાસ કરવા માટે સૂચના આપી હતી. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફ ખાનપુર પાસે બાગબાન નામની નવી બાંધકામ સાઈટ પર કોર્ટનો સ્ટે હોવા છતાં પણ કામગીરી ચાલતી હોવા અંગેની રજૂઆત પ્લાનિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી જેને લઇને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને હાલમાં બાંધકામ સાહેબને સીલ કરવામાં આવી છે. અશાંતધારાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. બાંધકામ સાઈટ વિવાદમાં કોર્ટ દ્વારા યથાવત સ્થિતિ જાળવવા અંગેનો સ્ટે આપ્યો હોવા છતાં પણ બાંધકામ ચાલુ હોવા અંગેની રજૂઆત ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં કરવામાં આવતા આજે 16 ઓક્ટોબરના રોજ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ પ્રિન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જગ્યાને સીલ કરવામાં હતી. ભાજપના ચેરમેન અને સભ્ય દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટનું ધ્યાન દોરવા અને તપાસ કરવા માટે સૂચના આપી હતી. શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી હોવા છતાં પણ અનેક વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે ફરી એકવાર રોડ ઉપર ઢોર આવ્યા છે જેના કારણે થઈને મ્યુનિસિપલ કમિશનરે પણ સીએનસીડી વિભાગના અધિકારીઓને પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવા માટેની કામગીરી કરવાની સુચના આપી છે જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરીમાં નિમણૂક આપવામાં આવેલા એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ઓનલાઇન નાગરિકો દ્વારા રખડતા ઢોર અંગેની ફરિયાદો કરવામાં આવે છે છતાં પણ પોલીસ કર્મચારીઓ અને સીએનસીડી વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી ન કરવામાં આવતા સાત જેટલા પોલીસ કોન્સ્ટેબલો અને બે સહાયક લાઈવ ઇન્સ્પેક્ટરને મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. ઢોર પકડવાની કામગીરીમાં સીએનસીડી વિભાગમાં ફાળવવામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલો દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી હતી જે ઢોર પકડવામાં આવે છે અને તેની કામગીરી કરવામાં આવે છે તેમાં યોગ્ય રીતે પોલીસ પ્રોટેક્શન પૂરું નહીં પાડી અને કામગીરી નબળી કરી હોવાને લઈને મ્યુનિસિપલ કમિશનરે ગંભીર નોંધ લીધી છે અને આ કોન્સ્ટેબલ ઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સીએનસીડી વિભાગની ટીમ સાથે રહેલા સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાતી યુનિવર્સિટીએ આ વર્ષથી સંપૂર્ણ ઓનલાઈન કોર્સની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ સ્નાતક અને ત્રણ અનુસ્નાતક એમ 6 કોર્સની એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન કોર્સમાં એડમિશન લેવા ઇચ્છતા 1268 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ 1268 વિદ્યાર્થીઓમાંથી કુલ 154 વિદ્યાર્થીઓને 6 કોર્સમાં એડમિશન આપવામાં આવ્યા છે એટલે કે કુલ 154 વિદ્યાર્થીઓએ જે તે કોર્સમાં પ્રવેશ મેળવીને ટ્યુશન ફી પણ ભરી દીધી છે. જેથી, આગામી મહિનાથી તમામ 6 કોર્સનું સંપૂર્ણ ઓનલાઈન શૈક્ષણિક સત્ર શરૂ થશે. 154 વિદ્યાર્થીઓને ઓનલાઇન કોર્સમાં પ્રવેશ આપવામાં આવ્યોવિદ્યાર્થીઓ નોકરીની સાથે સાથે અભ્યાસ પણ કરી શકે તે માટે આ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી એટલે કે વિદ્યાર્થીઓ પોતાની નોકરીની સાથે સાથે અભ્યાસ પણ પૂરો કરી શકે તે માટે ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં પણ રેગ્યુલર કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી સાથે ઓનલાઈન કોર્સમાં પણ એડમિશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રથમ વખત શરૂ થયેલા ઓનલાઇન કોર્સમાં 1268 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 785 વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર નોંધણી કરી હતી. 326 વિદ્યાર્થીઓએ અરજી માટેની ફી પણ ભરી હતી, તો 272 વિદ્યાર્થીઓએ આવશ્યક દસ્તાવેજો સાથે સંપૂર્ણ અરજી પણ સબમિટ કરી હતી. જે પૈકી 154 વિદ્યાર્થીઓને ઓનલાઇન કોર્સમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ક્યાં કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે?
સુરત: મહાનગરપાલિકાના એક સર્વેયરને 16 વર્ષ જૂના લાંચ કેસમાં સુરતની કોર્ટે સખત સજા ફટકારી છે. આરોપી કમલેશભાઈ રાવજીભાઈ પટેલ, સર્વેયર (વર્ગ-3), વરાછા ઝોન, સુરત મહાનગરપાલિકાને લાંચ લેવાના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને કુલ રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુંઆ કેસ વર્ષ 2007નો છે. ફરીયાદીના રહેણાંક મકાનને તેમના અને તેમના ભાઈઓના નામે ટ્રાન્સફર કરવા તેમજ મકાનમાં કોઈ ભાડુઆત રહેતું નથી તેવું દર્શાવવા માટે આરોપી કમલેશ પટેલે ફરીયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી.આરોપીએ શરૂઆતમાં રૂ. 2,200ની લાંચ માંગી હતી.રકઝકના અંતે રૂ. 1,400 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 13/03/2007ના રોજ આરોપી કમલેશ પટેલ રૂ. 1,400ની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા હતા. ત્યારબાદ સુરત ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7, 13(1)(ઘ) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક કાર્યવાહી દરમિયાન, કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. 10મા એડીશ્નલ સેશન્સ જજ, સુરત કોર્ટે આરોપીને સજા અંગેનો આખરી હુકમ કર્યો છે. કલમ-7 મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 25,000નો દંડ. (જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ). ત્રણ વર્ષની સખત કેદ અને 50,000નો દંડ ભરવાનો આદેશકલમ 13 (1) (ઘ) તથા 13(2) મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 25,000નો દંડ. (જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ).આમ, આરોપીને બંને ગુનાઓમાં કુલ ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ અને સંયુક્ત રીતે રૂ. 50,000નો દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.આ ચુકાદો સરકારી અધિકારીઓ/કર્મચારીઓ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવશે, તો કાયદો કડક હાથે કામ લેશે.
શહેરમાં યુવાનોને નિશાન બનાવીને બળજબરીથી પૈસા કઢાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં જુનાગઢ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અને તેના સાગરિતને ઝડપી પાડ્યો છે. સુભાષ કોલેજમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને એક્સિડન્ટના બહાને ફસાવીને તેની માતા પાસેથી ગૂગલ પે દ્વારા ₹15,000 પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીની માતા રીટાબેન લવકુમાર હરવાણીએ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે મુખ્ય આરોપી સુનીલ ઈગળે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ધરપકડ કરી છે. મોટરસાયકલ જાણી જોઈને વિદ્યાર્થીની ઈ-બાઈક સાથે અથડાવી ગત તા. 15/10/2025 ના રોજ બપોરે સુભાષ કોલેજનો વિદ્યાર્થી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ઝાંઝરડા ચોકડી બાયપાસથી ચોબરી ફાટક તરફ આવતા ખેતલાઆપા નામની દુકાન નજીક પાછળથી આવેલા બે યુવકોએ તેમની મોટરસાયકલ જાણી જોઈને વિદ્યાર્થીની ઈ-બાઈક સાથે અથડાવી દીધી હતી. એક્સિડન્ટ પછી એક યુવકે તેને પગમાં ઈજા થઈ હોવાનું નાટક કર્યું અને વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ લઈ જવાની વાત કરી. વિદ્યાર્થીએ હા પાડતા આરોપીઓએ તરત જ બાઈક બદલાવી. બંને યુવકોએ વિદ્યાર્થીને ગાળો બોલી ધમકાવવાનું શરૂ કર્યુંમુખ્ય આરોપીની ઈ-બાઈક પર ઈજાગ્રસ્તનો ડ્રામા કરનાર યુવક સવાર થયો, જ્યારે ઈજાગ્રસ્ત હોવાનું નાટક કરનાર યુવક વિદ્યાર્થીની ઈ-બાઈક ચલાવીને વિદ્યાર્થીને સાથે લઈને સિવિલ હોસ્પિટલના બદલે કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયો.અહીં પહોંચીને બંને યુવકોએ વિદ્યાર્થીને ગાળો બોલી ધમકાવવાનું શરૂ કર્યું. તેઓએ વિદ્યાર્થીનું મોટરસાયકલ અને મોબાઈલ ગીરવે રાખીને સારવારના બહાને તાત્કાલિક ₹15,000 આપવાની માંગણી કરી. માતાને ફોન કરીને ધમકી આપીવિદ્યાર્થીએ પૈસા આપવાની ના પાડીને ઘરે વાત કરવાની વાત કરતા આરોપીઓએ તેને તારા પર પોલીસ કેસ કરીને ફસાવી દઈશું અને વધુમાં મને પગમાં વાગ્યું છે, તો હું તારા પગ ભાંગી નાખીશ એવી ધમકીઓ આપી. બીજી તરફ, દીકરો ઘરે ન આવતા તેની માતા રીટાબેને તેને ફોન કર્યો, જે તરત જ એક આરોપીએ ઉપાડી લીધો. ફોન પર તે આરોપીએ રીટાબેનને 'માસી' કહીને સંબોધ્યા અને ધમકાવતા કહ્યું કે, તમારા છોકરાએ એક્સિડન્ટ કર્યો છે, મને ₹15,000 ગૂગલ પે કરી દો નહીં તો પોલીસ કેસ કરીને ફસાવી દઈશ.જોકે, રીટાબેને કાયદેસરની કાર્યવાહીની વાત કરતા આરોપી ગભરાઈ ગયો અને કહ્યું કે તમે સારા માણસ લાગો છો, જેથી હું તમારા દીકરાને જવા દઉં છું અને ફોન કાપી નાખ્યો. આ બનાવ બાદ વિદ્યાર્થી સહીસલામત ઘરે આવી ગયો હતો. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી સુનીલ ઈગળે અને કાયદાના સંઘર્ષમાં આવેલા તેના કિશોર સાગરિતની ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ બી-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.
વડોદરા જિલ્લાના કરજણ નારેશ્વર રોડ પર ગેરકાયદે ધમધમતી લીઝો પરથી રેતી ભરીને જતા હાઇવા ટ્રકોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક બેકાબૂ બન્યો હતો અને રોડની સાઈડના પતરાના મકાનમાં ઘરમાં ઘૂસ્યો હતો. જેમાં એક પશુનું મોત થયું જ્યારે ત્રણ પશુ ઘવાયા હતા. જો કે, કોઈ વ્યક્તિને જાનહાની થઈ ન હતી. અકસ્માતના પગને લોકો ભેગા થઈ ગયા હતા અને હાઇવાચાલક સામે ભારે રોષ વ્યક્ત કરી રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનને વળતર નહીં ચુકવાય તો આ ગામે દિવસોમાં ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાઈવાના ચાલકે સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતા ટ્રક બેકાબૂ બન્યો હતો અને સીધો એક પતરાના મકાનમાં ઘૂસી ગયો હતો. જેમાં પશુપાલકોએ બાંધેલા એક પશુનું મોત થયું હતું. જ્યારે ત્રણ પશુના પગ તૂટી ગયા હતા. અકસ્માતના પગલે લોકોમાં પણ દોડધામ મચી હતી અને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ રોડ ઉપર બેસી રોડ બંધ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ રોડ પરથી રેતી ભરેલા હાઇવા ટ્રકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય ત્યારે આ રેતીના ધમધમતા વાહનોથી અવારનવાર અકસ્માત થાય છે અને વારંવાર બનાવવા છતાં રોડ પર આ વાહનોના કારણે જ બિસ્માર થઈ જતા હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મકાનમાં રહેતો વ્યક્તિ પશુઓ પર જ પોતાનું ઘર ગુજરાત ચલાવતો હતો. મકાન માલિકની આવક પણ બંધ થઈ જશે તો તેનું તથા તેના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેવો પ્રશ્ન હાલ ગ્રામજનો કરી રહ્યા છે. આ ઉપરાંત જો ટ્રકના ચાલક અને તેના માલિકો દ્વારા આ ગ્રામજનને વળતર નહીં ચૂકવાય તો ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળી બાદ પણ રોડની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. નવરાત્રી બાદ પણ પશ્ચિમ વિસ્તારમાં રોડ હજી સુધી બાકી હોવાને લઈ દક્ષિણ પશ્ચિમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આડે હાથ લીધા હતા. તળાવમાં ગંદકી હોવાની ફરિયાદ મળતા સફાઈનો કોન્ટ્રાક્ટ રદ કરી એક લાખનો દંડ કરવા માટે અધિકારીને સૂચના આપી હતી. તળાવમાં ઘટના પાણી રોકવા અવારનવાર સૂચના આપી હતી છતાં પણ અધિકારીઓએ યોગ્ય કામગીરી ન કરતા એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓનો ઉધડો લેવાઈ ગયો હતો. પશ્ચિમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ મુદ્દે પણ ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા. AMC કમિશનરે નારાજગી વ્યક્ત કરીAMC કમિશનર બંછાનિધિ પાનીએ વીકલી રીવ્યુ મીટિંગમાં શહેરના દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં રોડના ઘણાં કામો બાકી હોવા મામલે ભારે નારાજગી વ્યક્ત કરીને દક્ષિણ- પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ખખડાવતા કહ્યું હતું કે, દિવાળીમાં રોડના કામો નહીં કરો તો ક્યારે કરશો? અન્ય ઝોનમાં જેટલા પ્રમાણમાં DBMનું કામ થાય છે તેની સરખામણીએ દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં તેટલું DBMનું કામ થયું નથી. રોડના કામો અંગે પેથેટિક પરફોર્મન્સ જોવા મળ્યું છે. રોડ રીસરફેસ, નવા રોડ બનાવવામાં અસરકારક કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. ઓનલાઇન સીસીઆરએસમાં પણ તમારા ઝોનની વધારે ફરિયાદો મળે છે એમ કહ્યું હતું. લોકોને ફાયર સેફટીની તાલીમ આપવા જણાવ્યું હતુંશહેરના ગોતા તળાવમાં ગંદકી જોવા મળી હતી જેને લઈને આ ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવનારા કોન્ટ્રાક્ટરને એક લાખ રૂપિયાનો દંડ કરવા અને તેનો સફાઈનો કોન્ટ્રાક્ટર કરવા માટેની સૂચના અધિકારીને આપી હતી. ડ્રેનેજનું ગંદુ પાણી તળાવમાં આવતું અટકાવવા માટે પડદી મારવામાં આવી હોવાની ઈજનેર વિભાગના અધિકારીએ રજુઆત કરતાં AMC કમિશનરે જણાવ્યું કે, પડદી મારીને પાણી બંધ કરવાને કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ ઉભરાશે. તળાવમાં ગંદુ પાણી આવતું રોકવા માટે પગલાં લેવા જોઈએ. ફાયર વિભાગમાં ફાયર સેફટીની તાલીમને લઈને પણ કમિશનરે લોકોને ફાયર સેફટીની તાલીમ આપવા જણાવ્યું હતું.
બોટાદ SOG પોલીસે ગાંજાના વાવેતર અને વેચાણના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની PIT NDPS કાયદા હેઠળ ધરપકડ કરી છે. આરોપીને ભુજ (પાલારા) જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ શખ્સનું નામ સુરેશભાઈ છનાભાઈ મીઠાપરા છે, જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કેરીયા ગામનો રહેવાસી છે. તે ગાંજાના ગેરકાયદેસર વાવેતર અને વેચાણની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. બોટાદ SOG PI એમ. જી. જાડેજાએ સુરેશભાઈ છનાભાઈ મીઠાપરા વિરુદ્ધ PIT NDPS હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તને અધિક પોલીસ મહાનિર્દેશક, સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બોટાદ પોલીસ NO DRUGS IN BOTAD થીમ હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી તે અભિયાનનો એક ભાગ છે.
દેશભરમાં JEE 2026ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશનનું પોર્ટલ ખોલતા જ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શિક્ષણ વિભાગના નવા નિયમના કારણે વિદ્યાર્થીઓ હવે અટવાઈ ગયા છે. JEE 2026 માટેની પરીક્ષાના રજીસ્ટ્રેશન પોર્ટલમાં ફોર્મ ભરતા સમયે અટક આગળ લખવામાં આવી રહી છે પરંતુ, શાળાઓમાં શિક્ષણ વિભાગે APAAR IDમાં સમાનતા જણાવવા તમામ વિદ્યાર્થીઓની અટક પાછળ રાખવાનું નક્કી કર્યું હતું. જે બાદ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની અટક પાછળ લખી નવા ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા પરંતુ, હવે જ્યારે JEE પરીક્ષા માટે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરે છે ત્યારે ડોક્યુમેન્ટનાં અટક પાછળ હોવાથી ફોર્મ સબમિટ થઈ શકતા નથી. જેને લઈને હજારો વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી વંચિત રહી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વિસંગતતાના કારણે ફોર્મ આગળ સબમિટ થઈ શકતું નથીગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, JEE પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે પોર્ટલમાં વિદ્યાર્થીઓની અટક પહેલા ભરવામાં આવે છે અને ત્યારબાદ આગળની વિગતો ભરવામાં આવતી હોય છે. ગુજરાતમાં તાજેતરમાં સરકારે નિયમ કર્યો જેમાં વિદ્યાર્થીઓની અટક પાછળ કરવામાં આવી હતી. APAAR ID સાથે સમાનતા લાવવા માટે આ ગતકડું કાઢ્યું હતું. જેના કારણે તમામ વિદ્યાર્થીઓની અટક પાછળ થઈ ગઈ હતી. જેથી જ્યારે વિદ્યાર્થી JEEની પરીક્ષાના ફોર્મ ભરે છે ત્યારે અટક આગળ લખે છે અને ડોક્યુમેન્ટમાં અટક પાછળ લખવામાં આવી છે. જેની વિસંગતતાના કારણે ફોર્મ આગળ સબમિટ થઈ શકતું નથી. એટલે કે ગુજરાતની ભાજપ સરકારના શિક્ષણ વિભાગના ગતકડાથી રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ માટેની પરિક્ષાથી હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા જ નહીં આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારના ગતકડાથી વિદ્યાર્થીઓ પ્રવેશ પરિક્ષાથી વંચિત રહેશેવધુમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી જણાવે છે કે, 2025માં એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી સરકારના આવા ગતકડાથી એના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ પરિક્ષાથી વંચિત રહેશે. તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો તો કઈ રીતે લેવો તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે અમે માંગ કરીએ છીએ કે જે પણ વિસંગતતા છે તે દૂર કરવામાં આવે. મુખ્યમંત્રીને પણ અમે પત્ર લખીને લેખિતમાં માંગ કરીશું. જેથી વિદ્યાર્થીઓ આવનારી પ્રવેશ આપવામાં કોઈ મુશ્કેલી ના ઉભી થાય.
ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરિવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીના પગલે જ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઈ ગયું છે, તો જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધીકારીઓ ઉપર આવા બનાવવામાં ફરિયાદ નોંધાઇ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથીચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ આજે આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સ્થાનિક ઓથોરિટી PPP મોડથી કામ ચાલુ કરવા જઈ રહી છે. જેમાં પ્રાઇવેટ માણસો મશીનરી પ્રોવાઇડ કરશે. કોર્ટે કહ્યું હતું કે હજુ સ્થાનિક સંસ્થાઓ પાસે મશીનો ઓછા છે, છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથી. કોર્ટને જણાવાયું હતું કે અમદાવાદ ઝોનને ડ્રેનેજ સફાઈ માટે 3 ઓટોમેટિક મશીન મળશે. કંપની મશીનરી વાપરશે અને ઓપરેટ પણ કરશે. જેથી કોર્ટે કહ્યું હતું કે આ પણ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જ થયો ને ! 10 મેનહોલ કિલિંગ રોબોટ મેળવાયાકોર્ટને જણાવાયું હતું કે, 10 મેનહોલ કિલિંગ રોબોટ મેળવાયા છે. જે 6 મ્યુનિસિપલ ઝોનમાં કામ કરશે. 209 મશીનનો ઓર્ડર અપાયો છે. અરજદારે જણાવ્યું હતું કે, છેલ્લી સુનવણી બાદ અમદાવાદના બોપલમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગથી બે લોકો માર્યા ગયા છે. અધિકારીની જગ્યાએ પ્લમ્બરને આરોપી બનાવાયો છે. હાઇકોર્ટે આ બાબત એફિડેવિટ ઉપર આપવા કહી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીં. આ કામ કોર્પોરેશનનું છે. તેને યોગ્ય પદ્ધતિથી કામ કરવાની ખબર હોય. આ એક સામાજિક પ્રશ્ન છે, સમાજમાં જાતિ વ્યવસ્થાને લઈને માનસિકતા બદલાવાની જરૂર છે. લોકોને જાગરૂત કરવાની જરૂર છે. મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશેમહત્વનું છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટનો ઉપયોગ કરાશે. રાજ્યના મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશે. અમદાવાદમાં ઝોનમાં ત્રણ મશીન તહેનાત કરાયા છે. ભાવનગરમાં ત્રણ મશીન તહેનાત કરાયા છે. ગાંધીનગરમાં બે મશીન તહેનાત કરાયા છે. રાજકોટમાં ચાર, સુરતમાં બે અને વડોદરામાં ત્રણ મશીન તહેનાત કરાયા છે. હાલ રાજ્યના મોટા શહેરો માટે 17 મશીનોની ઉપલબ્ધિ છે. 40 મેન હોલ ક્લીનીંગ રોબોટનો ઓર્ડર અપાયો છે. 10 મેન હોલ ક્લીનીંગ રોબોટ હાલ કાર્યરત છે. અમરેલી, આણંદ, ગોધરા, ભરૂચ, દ્વારકા, ભુજ, મોરબી, હિંમતનગર ડીસા અને સુરેન્દ્રનગરમાં આ રોબોટની ફાળવણી કરાઈ છે. આ મુદ્દે વધુ સુનવણી આગામી સમયમાં હાથ ધરાશે. 209 મશીન મેળવવા ઓર્ડર અપાયોગત સુનવણીમાં એડવોકેટ જનરલે સ્થાનિક ઓથોરિટી પાસે ગટર સફાઈના કેટલા સાધનો છે અને કેટલા ખરીદવામાં આવનાર છે, તેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જે મુજબ 16 જેટિંગ સક્શન મશીન અને 24 ડિસિલ્ટિંગ મશીન 16 સ્થાનિક ઓથોરિટીને આપવામાં આવ્યા છે. 209 મશીન મેળવવા ઓર્ડર અપાયો છે. જેમાં 59 જેટિંગ કમ સક્શન મશીન, 133 ડિસિલ્ટિંગ મશીન અને, 17 જેટિંગ મશીન 100 સ્થાનિક ઓથોરિટીને આપવામાં આવશે. સ્થાનિક ઓથોરિટી પાસે જે મશીનો છે તેના સર્ટિફિકેટ અપાયાઆગામી માર્ચ, 2026 સુધીમાં આ મશીનોની ડિલિવરી મળી જશે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરાની સ્થાનિક ઓથોરિટી પાસે જે મશીનો છે તેના સર્ટિફિકેટ અપાયા છે. જેટિંગ મશીન અને હાઇડ્રોલિક ડોલ મંગાવ્યા છે. જે ઓથોરિટી પાસે જરૂરી મશીન નથી તે બીજી નજીકની MNC પાસેથી ઉધાર મંગાવે છે. વળી અરજદારે જણાવ્યું હતું કે, ઓથોરિટી નાની નાની વસ્તુઓ વસાવી છે, મોટી અને કામની વસ્તુઓ નહીં ! સરકારી ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીંહાઇકોર્ટે કહ્યું હતું કે, નાની મ્યુનિસિપાલિટી પાસે જરૂરી મશીનો હોવા જ જોઈએ. જે મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છે, પરંતુ બધું કોન્ટ્રાકટર ઉપર ઢોળી ના દેવાય, કોન્ટ્રાક્ટરના વર્કને કોણ મોનીટર કરશે ? સરકારી ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારી વકીલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ મુજબ આ કામ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દર ત્રણ મહિને કામગીરીનો રીપોર્ટ મંગાવાય છે. કોન્ટ્રાક્ટર નિયમો ના પાળે તો પણ જવાબદારી મ્યુનિસ્પાલિટીની જઅમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ પાસે જરૂરી સાધનો છે. જેના સર્ટિફિકેટ રિજિયોનલ કમિશનર દ્વારા અપાયા છે, બીજા સાધનો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. 100 મ્યુનિસિપાલિટીએ સમાચાર પત્ર વગેરેમાં જાગરૂકતાની જાહેરાત આપી છે. કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા પહેલા તેની વિશ્વસનીયતા ચેક કરાય છે, સર્ટિફાઇડ એજન્સી જેની પાસે પૂરતા સાધનો હોય તેને જ કામ અપાય છે. કોર્ટે પૂછ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાથી, જીવ જતા કેવી રીતે અટકશે ? મ્યુનિસિપલ કમિશનરને પણ મેન્યુઅલ સ્કેવેનજિંગથી થતા મોતની ખબર હોતી નથી. વળી એજન્સીને બ્લેક લિસ્ટ પણ થોડા સમય માટે જ કરાય છે. કોન્ટ્રાક્ટર નિયમો ના પાળે તો પણ જવાબદારી મ્યુનિસ્પાલિટીની જ બને. અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે, સતત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને આવતા મૃત્યુના સમાચાર હતાશાજનક છે. વળી ચોમાસાની ઋતુમાં અમદાવાદ મહાનગરપાલિકા પાસે કામદારો માટે લઘુતમ લાયકાત મુજબના સાધનો ઉપલબ્ધ ન હોય તે ગંભીર બાબત છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની સંપૂર્ણપણે નાબૂદી જરૂરી છે. આ બાબત એડવોકેટ જનરલને ધ્યાને મૂકવામાં આવે. ગટરમાં કામદારને ઉતરવા ઉતારનાર વિરુદ્ધ ફોજદારી કરાશેએડવોકેટ જનરલે કહ્યું હતું કે, ગટરમાં ઉતરવા અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઉપર જ પ્રતિબંધ છે. ત્યારે ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી જ કરવાની થાય, કોઈને ગટરમાં ઉતરવા ફરજ પાડી શકાય નહીં. આ માટે એક SOP તૈયાર કરવામાં આવી છે. ગટરમાં કામદારને ઉતરવા ફરજ પાડનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં જાગરૂકતા લાવવા માટે જાહેર સ્થળોએ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રતિબંધિત હોવાની જાહેરાત કરતા હોર્ડિંગ્સ લગાવાશે. કોર્ટે પૂછ્યું હતું કે, શું કોન્ટ્રાક્ટરને ગટર સફાઈ કામનો કોન્ટ્રાક્ટ સોંપાતા કોન્ટ્રાકટમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઉપર પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવે છે કે શરતોમાં કામદારોને આપવાના જરૂરી સાધનો અને જવાબદારી અંગે શરત હોય છે ? અરજદારે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર મેન્યુઅલ સ્કેવેન્જિંગ નહીં કરાવે તેવી બાહેંધરી આપે છે, છત્તા આ પ્રકારના બનાવો બને છે. કોન્ટ્રાક્ટરો પાસે પૂરતા સાધનો પણ હોતા નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે જે કોન્ટ્રાકટર પાસે પૂરતા સાધનો ના હોય તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખવો જોઈએ.
બે મહિના પહેલાં ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે... તેના બીજા જ દિવસે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરવી પડી હતી કે અમેરિકાના દબાણ કરશે તો પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે... ફરી બે મહિના પછી ટ્રમ્પે નવો ધડાકો કર્યો છે. હવે ટ્રમ્પે મોદીનું નામ લઈને કહ્યું છે કે, મને મારા મિત્ર નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે. ટ્રમ્પના આ નિવેદન પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એ જ જવાબ આપ્યો જે બે મહિના પહેલાં આપ્યો હતો. નમસ્કાર, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેને 11 વર્ષ થયા પણ હજી સુધી એકપણ પત્રકાર પરિષદ કરી નથી ને ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેને 11 મહિના થયા છતાં ઢગલાબંધ પત્રકાર પરિષદ કરી નાખી છે. ગુરૂવારે સવારે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારત રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે તેવો મુદ્દો ઉઠાવતાં ગ્લોબલ પોલિટિક્સમાં ફરી સળવળાટ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું? ગુરૂવાર, 16 ઓક્ટોબરે વ્હાઈટ હાફસમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે. હું ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાથી ખુશ નહોતો, પરંતુ આજે તેમણે (પીએમ મોદીએ) મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. હવે આપણે ચીન પાસેથી પણ આવું જ કરાવવું પડશે. બધા જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલાં 25% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. પછી એમ કરીને બીજો વધારાનો 25% ટેરિફ નાખી દીધો કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે. જેનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે. ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી રોકવા કે ઘટાડવા અંગે ગુરૂવાર સાંજ સુધી તો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. ટ્રમ્પે કહ્યું, મોદી મને પ્રેમ કરે છે વ્હાઈટ હાઉસમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે સર્જિયો ગોર જે ભારતમાં અમેરિકાના રાજદૂત બનવાના છે તેમને પીએમ મોદી તાજેતરમાં દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાત પછી સર્જિયોએ મને કહ્યું કે મોદી તમને પ્રેમ કરે છે. જોકે, હું અહીં પ્રેમ શબ્દનું ખોટું અર્થઘટન ટાળવા માંગુ છું. હું કોઈની રાજકીય કારકિર્દી બગાડવા માંગતો નથી. મેં વર્ષોથી ભારતનું નિરીક્ષણ કર્યું છે; સરકાર દર વર્ષે બદલાય છે. મારા મિત્ર (મોદી) ઘણા સમયથી ત્યાં છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. જોકે તેઓ તાત્કાલિક ખરીદવાનું બંધ નહિ કરી શકે, તેની એક પ્રક્રિયા છે જે ટૂંક સમયમાં પૂરી થશે. વિપક્ષોને મુદ્દો મળી ગયો વડાપ્રધાન મોદીએ રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદવાની ખાતરી આપી છે. એવું ટ્રમ્પનું નિવેદન આવ્યા પછી વિપક્ષોને મુદ્દો મળી ગયો છે. વિપક્ષે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, પીએમ મોદી ટ્રમ્પથી ડરી ગયા છે. રાહુલ ગાંધીએ પાંચ વાતો લખી... કોંગ્રેસે કહ્યું, મોદી નબળા વડાપ્રધાન કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પ્રહાર કરતાં લખ્યું કે પરસ્પર મિત્રતા સુધારવા માટે દેશના સંબંધોને નુકસાન ન પહોંચાડો. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાષ્ટ્રની ગરિમા સાથે સમાધાન કર્યું છે. એક વાત સ્પષ્ટ છે: નરેન્દ્ર મોદી એક નબળા વડા પ્રધાન છે અને તેમના કામોએ દેશની વિદેશ નીતિને અસ્થિર બનાવી દીધી છે. ટ્રમ્પના નિવેદન પર ભારતે જવાબ આપી દીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એવું નિવેદન આપ્યું હતું કે ભારત હવેથી રશિયા પાસેથી ઓઈલ નહિ ખરીદે. આ સ્ટેટમેન્ટ સામે ભારતનો જવાબ પણ આવી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભારત જનતાના હિતોને ધ્યાનમાં રાખીને ઓઈલ અને ગેસની આયાત કરે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારા માટે સતત પ્રાથમિકતા રહી છે. જોકે જયસ્વાલે ટ્રમ્પના સ્ટેટમેન્ટ વિશે સ્પષ્ટ નથી કહ્યું પણ આડકતરી રીતે તેમના નિવેદનને ફગાવી દીધું છે. ભારત પરના પ્રતિબંધોનો હેતુ રશિયા પર દબાણ લાવવાનો છે રશિયા પર દબાણ લાવવા માટે અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે ભારત રશિયા પાસેથી જે ઓઈલ ખરીદે છે તે રૂપિયાનો ઉપયોગ રશિયા યુક્રેન યુદ્ધમાં કરે છે. ભારત પર રેસિપ્રોકલ ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો અને પેનલ્ટી 27 ઓગસ્ટથી અમલમાં આવી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિના લેવિટે કહેલું કે અમેરિકાનો હેતુ રશિયા પર દબાણ લાવવાનો છે જેથી યુદ્ધનો અંત લાવી શકાય. રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદી કેવી રીતે શરૂ થઈ? ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુરોપે રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ રશિયાએ તેનું ઓઈલ એશિયા તરફ વાળ્યું. ભારતે 2021માં રશિયન તેલનો માત્ર 0.2% આયાત કર્યો. 2025માં રશિયા ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું. રશિયા ભારતની કુલ ઓઈલ જરૂરિયાતોના આશરે 37% ઓઈલ સપ્લાય કરે છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું કેમ બંધ નથી કરતું? રશિયા પાસેથી તેલ ખરીદવાથી ભારતને ઘણા સીધા ફાયદા થાય છે... રશિયા સિવાય ભારત કયા દેશોમાંથી ઓઈલ ખરીદી શકે તેમ છે? ભારત તેની ઓઈલ જરૂરિયાતોના 80% થી વધુ આયાત કરે છે. રશિયા ઉપરાંત તે ઇરાક, સાઉદી અરેબિયા અને અમેરિકા જેવા દેશોમાંથી તેનું મોટાભાગનું ઓઈલ ખરીદે છે. જો તે રશિયામાંથી ઓઈલ આયાત બંધ કરે છે તો ભારતે આ દેશોમાંથી તેની આયાત વધારવી પડશે... ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે તો શું થાય? ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે તો ગલ્ફ દેશો પાસેથી મોંઘા ભાવે ઓઈલ ખરીદવું પડશે. આના કારણે થશે એવું કે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળશે. ટ્રાન્સપોર્ટ મોંઘું થશે. વીજ ઉત્પાદન મોંઘું થશે. મોંઘવારી વધશે. બીજી તરફ રશિયાને પણ મોટું નુકસાન થશે. કારણ કે તેનું સૌથી મોટું ખરીદાર ભારત જ છે. નુકસાન બંને તરફ થશે પણ ભારતની જનતા પર સીધી અસર થશે. આ નવું... રશિયાના ડેપ્યુટી PM બોલ્યા- ભારત ચીની કરંસીમાં પેમેન્ટ આપે છે ન્યૂઝ એજન્સી TASS સાથેની એક મુલાકાતમાં રશિયના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે ભારતે રશિયન તેલ માટે ચીની યુઆનમાં કેટલુંક પેમેન્ટ આપે છે. જોકે મોટાભાગના વ્યવહારો હજુ પણ રશિયન રૂબલમાં થાય છે. અગાઉ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે તો ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં પેમેન્ટ કરતું હતું. હવે રશિયન રૂબલ અને ચીની યુઆનમાં પેમેન્ટ કરે છે. એવો દાવો રશિયાના ડેપ્યુટી PMએ કર્યો છે. ભારતના રશિયન એમ્બેસેડરે શું કહ્યું? ભારતમાં રહેલા રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે 4 મુદ્દા પર વાત કરી. છેલ્લે, ભારતમાંથી જોઈએ તેટલું ઓઈલ નીકળતું નથી પણ અમુક ભૂભાગમાં ઓઈલ છે. 1889માં આસામના દિગ્બોઈમાં ભારતનો પહેલો ઓઈલ કૂવો ખોદવામાં આવ્યો હતો. અમેરિકાએ તેના 30 વર્ષ પહેલાં 1859 ઓઈલનો પહેલો કૂવો ખોદી લીધો હતો. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)
નવસારીમાં સામી દિવાળીએ વરસાદ:ખરીદીમાં વિઘ્ન, અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી
નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામી દિવાળીએ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરી છે. આ અણધાર્યા વરસાદને કારણે દિવાળીની ખરીદીમાં વિઘ્ન ઊભું થયું છે. છેલ્લા બે દિવસથી દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી અને ખરીદીનો માહોલ જામ્યો હતો. લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા હતા. જોકે, સામી દિવાળીએ શરૂ થયેલા આ પાછોતરા વરસાદે તહેવારના માહોલને બગાડ્યો છે. વરસાદના કારણે દુકાનદારો અને ખરીદી કરવા નીકળેલા લોકો બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. રેસકોર્સ રીંગ રોડ પર પાંચ દિવસ માટે નગરજનોને જલસા કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ રામ મોકરિયાના હસ્તે આજે આ દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી જ રેસકોર્સ રીંગ રોડ લાઈટિંગથી ઝળહળી ઉઠ્યું છે. આ કાર્નિવલ દરમિયાન 5 દિવસ માટે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે 500થી વધુ બહેનો આખી રાત રંગોળી કરશે અને સ્પર્ધામાં જોડાશે. આ તકે સાંસદ રામ મોકરિયાએ રંગીલા રાજકોટિયનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, કાર્નિવલ અંતર્ગત 5 દિવસ રોશની રહેશે. આવતીકાલે રંગોળી સ્પર્ધા અને 18 ઓક્ટોબરનાં રોજ ધનતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 કલાકની આતશબાજી થશે, જેમાં ભારતના (સ્વદેશી) ફટાકડાથી આતશબાજી કરવામાં આવશે. આ ઉપરાંત, બહુમાળી ભવન ચોકમાં લેઝર શો અને સાઉન્ડ સિસ્ટમથી સૂરો લહેરાવશે. આ પ્રસંગે સાંસદ રામ મોકરિયાએ મંત્રીમંડળને લઈને વેધક ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, અને રમેશ ટિલાળા રાજ્ય સરકારના અદેશથી હાલ ગાંધીનગર છે. પરત આવે ત્યારે લાલ બત્તી વાળી કારમાં જ આવે તેવી આશા છે. તેમ કહીને તેમણે રાજકોટના ધારાસભ્યો મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે મોકરિયા સહિત મનપાનાં પદાધિકારીઓએ પણ બગીમાં બેસી રિંગરોડ પરની રોશનીનો નઝારો માણ્યો હતો. આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજથી પાંચ દિવસ રાજકોટવાસીઓ જલસો કરી શકે તે માટે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2016થી રેસકોર્સ રિંગરોડ ખાતે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે રંગોળી સ્પર્ધા અને 18 ઓક્ટોબરે રાજકોટનાં લોકોની અતિપ્રિય આતશબાજી રાખવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં રંગીલા રાજકોટિયનોને આ કાર્યક્રમોનો લાભ લેવાની અપીલ તેમણે કરી હતી. 17મી ઑક્ટોબરે રંગોળી સ્પર્ધા દિવાળી કાર્નિવલ દરમિયાન રાજકોટ ચિત્રનગરીના સહયોગથી 17મી ઑક્ટોબરથી રેસકોર્સ રીંગરોડ પર ભવ્ય રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રનગરી અને રાજકોટના અન્ય રંગોળી કલાકારો દ્વારા રંગોળી બનાવવાનું કામ તા. 16 ઑક્ટોબરથી શરૂ કરી દેવામાં આવશે. આ રંગોળીઓને 17 ઑક્ટોબરે શહેરીજનો જોવા માટે ખુલ્લી મુકાશે. રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનો વિસ્તાર મેયર બંગલેથી બહુમાળી ભવન સુધીના માર્ગ પર રહેશે. આ વર્ષે રંગોળીની થીમ વિકાસ યાત્રા અને સ્વદેશી પર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કલાકારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રેસકોર્ષ રિંગ રોડે મનપા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સહયોગથી આ રંગોળી સ્પર્ધા યોજાશે. જેમાં વ્યક્તિગત અને ગ્રુપ એમ બે પ્રકારની સ્પર્ધા રહેશે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ 11 વિજેતાને રૂ. 5,000નું ઇનામ અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂ. 5,000નો પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે 18 ઑક્ટોબરે દિવાળી કાર્નિવલને અનુલક્ષીને રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના શહેરીજનોને અવનવા ફટાકડાની આતશબાજી જોવા મળશે. આતશબાજીમાં આ ફટાકડા એક પછી એક ફૂટશે * માઇન્સ: 200 નંગ * એરિયલ શોટ: 700 નંગ * મલ્ટીકલર એરીયલ શોટ: 10 નંગ (240 મલ્ટીકલર) * મલ્ટીકલર શોટ: 10 નંગ (120 મલ્ટીકલર) * કેકલીંગ: 4 નંગ (100 શોટ) * મ્યુઝિકલ: 4 નંગ (100 શોટ) * નાયગ્રા ફોલ્સ: 1 નંગ (200 ફૂટ) * બોર્ડ: હેપ્પી દિવાલી બોર્ડ * વિવિધ આકૃતિઓ: One નંગ પીકોક, Two નંગ થ્રી ઇન વન ખજુરી, Two નંગ ટ્રી સુર્યમુખી, Two નંગ ટ્રી પામ, Two નંગ ટ્રી ગોલ્ડનસ્ટાર, One નંગ ઇલેક્ટ્રિક ખજુરી, Two નંગ અશોક ચક્ર ટ્રી. * સ્પાર્કલ: Five પેકેટ બીગ સ્પાર્કલ (તારા મંડળ).કાર્નિવલ અને વિકાસ સપ્તાહ માટે મેરેથોન મિટિંગોદિવાળી કાર્નિવલની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 'સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધા ઉપરાંત અન્ય અનેક આકર્ષણો છે. જેમાં 18 ઓક્ટોબરે આતશબાજી અને 19 તેમજ 20 ઓક્ટોબરનાં રોજ બહુમાળી ભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડનું આયોજન મનપા તંત્ર દ્વારા કરાયું છે. તેમજ તા. આજથી 20 ઓક્ટોબર સુધી રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન અને લેસર શો યોજાનાર છે. રંગીલા રાજકોટવાસીઓને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાવા શાસકોએ અપીલ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર એમ. પટેલે વઢવાણ તાલુકાના લટુડા ગામમાં આવેલા અંજીરના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ પ્રેરિત કરવાનો છે. કલેક્ટરે પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો પર તૈયાર કરાયેલા આ ફાર્મ પર ખેતીની નવીનતમ પદ્ધતિઓ અને પાકની ગુણવત્તા વિશે રૂબરૂ જાણકારી મેળવી હતી.મોડેલ ફાર્મના ખેડૂત મિલનભાઈ રાવલે કલેક્ટરને અંજીરના પાક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અંજીર એવો પાક છે જેને વધુ ગરમી અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે અને તે ઓછા પાણીએ પણ સારો પાક આપે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ મુલાકાત દરમિયાન, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ભરત પટેલે ઉમેર્યું હતું કે અંજીર બાગાયતી પાક તરીકે ખારી જમીનમાં પણ સારી રીતે ઉગી શકે છે. આ અવલોકનો સૂચવે છે કે અંજીરની ખેતી ભવિષ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આશાસ્પદ અને વધુ આવક આપનારો પાક સાબિત થઈ શકે છે. કલેક્ટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલે જિલ્લાના ખેડૂતોને સંદેશ આપ્યો કે તેમણે વધુ આવક આપી શકે તેવા પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ખેતીને માત્ર નિર્વાહનું સાધન નહીં, પરંતુ નફાકારક વ્યવસાય બનાવવાની પ્રેરણા આપી. આ મુલાકાત સમયે વઢવાણ પ્રાંત અધિકારી એમ.જે.ભરવાડ અને મામલતદાર બી.એમ.ત્રમટા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાના કાંકરેજના ખીમાણી ગામમાં ગૌચર અને તળાવની જમીન ઉપર દબાણ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 28 નવેમ્બરના રોજ રાખી છે. 49 લોકો દ્વારા ગામની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યુંઅત્રે ઉલ્લેખનીય છે કે, ગામના રહેવાસી દ્વારા જ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, 49 લોકો દ્વારા ગામની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણકર્તાઓ ગામના રહેવાસી જ છે. અરજદાર વર્ષ 2024થી ઓથોરિટી સમક્ષ દબાણ સંદર્ભે રજૂઆત કરતા આવ્યા છે. સ્મશાન ઉપર પણ કોમર્શિયલ બાંધકામ કરી દેવાયું છે. અરજદાર દ્વારા ઓથોરિટી સમક્ષ માંગ કરાઈ હતી કે ગુજરાત લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવે, એટલું જ નહીં ગામનો સરપંચ પોતે દબાણ કરતા છે. તે જમીન માપણીનો સર્વે થવા દેતો નથી. હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 28 નવેમ્બરે રાખીઆ અંગે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર અને જિલ્લા સુપ્રિન્ટ ઓફ પોલીસને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ, કોઈ કાર્યવાહી ન થતા અંતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 28 નવેમ્બરે રાખી છે. ઓથોરિટીના જવાબ બાદ તેના આધારે ખાનગી વ્યક્તિઓને નોટિસ નીકળી શકે છે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્યો રાજેન્દ્ર ઠાકોર અને જસુ પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, નગરપાલિકા વિપક્ષ નેતા જી.આઈ. ખાલક સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે જણાવ્યું હતું કે મોડાસા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય, બંધ પડેલા પાણીના એટીએમ, બંધ હાલતમાં રહેલી સિટી બસો અને ચાર રસ્તા પરના બિનકાર્યક્ષમ ટ્રાફિક સિગ્નલ જેવા અનેક પ્રશ્નોથી જનતા ત્રસ્ત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેરના ગંદા કચરાના નિકાલ માટે કોઈ ડમ્પિંગ સાઈટ પણ કાર્યરત નથી. આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન યોજીને તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી હતી.
આણંદ શહેરમાં એક પિતાએ પોતાની 12 વર્ષીય સગીર પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કૃત્યના કારણે બાળકી ગર્ભવતી બની હતી. બાળકીના નિવેદન બાદ પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને આઠ માસનો ગર્ભ રહી ગયો હતોઆણંદ શહેર વિસ્તારમાં રહેતી આ સગીર બાળકી પર તેના પિતાએ છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના પરિણામે બાળકીને આઠ માસનો ગર્ભ રહી ગયો હતો. પુત્રીને ગુપ્ત ભાગે અને પેટમાં દુખાવો થતાં તેની માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ, જ્યાં આ સમગ્ર હકીકત બહાર આવી હતી. આરોપી પિતાની ધરપકડ કરાઇઆ ઘટના અંગે બાળકીની માતાએ આણંદ ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર બાળકીના નિવેદનના આધારે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પી.આઈ. એન.બી. ડોડીયાએ જણાવ્યું કે, આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાના તરસાલી ધનિયાવી રોડ પર પુરંદર ફાર્મ પાસે ખુલ્લી જગ્યાંમાં 60થી 70 ટન હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ નાખી દેવાના કારણે સ્થાનિક લોકોને હેરાન ગતિ ભોગવવાનો વારો આવ્યો છે. જેની કપુરાઇ પોલીસ તપાસ શરૂ કરતા ઓદ્યોગિક એકમમાંથી વેસ્ટ કેમિકલ ટ્રકમાં ભરીને સગીર સહિતના આરોપીઓ નાખ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી, પોલીસે સગીર સહિત ટ્રક ચાલક અને માલિક તથા ઓદ્યોગિક એકમના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 60થી 70 ટન જેટલો પ્લાસ્ટીકની થેલામાં વેસ્ટ કેમિકલ ભરીને જથ્થો પડ્યો હતોવડોદરા શહેર નજીક આવેલા તરસાલી ધનિયાવી રોડ ઉપર પુરંદર ફાર્મની બાજુમાં 25 ઓગસ્ટના રોજ ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાં બ્લેક કલરની માટી જેવો વેસ્ટનો જથ્થો ભરેલો હતો. તેના સિવાય ત્રણ ટ્રકની બાજુમાં પ્લાસ્ટીકની થેલામાં વેસ્ટ કેમિકલ ભરીને 60થી 70 ટન જેટલો કેમિકલ વેસ્ટનો જથ્થો પડેલો હતો. જેના કારણે સ્થાનિકોને હેરાનગતિ થતી હતી. જેની જાણ કપુરાઇ પોલીસને કરાઇ હતી, જેથી પોલીસે સ્થળ પર દોડી જઈને આ કેમિકલ વેસ્ટ પડેલું હોય જાણવાજોગ ફરિયાદ નોધીની તપાસ કરી હતી. પુરંદર ફાર્મની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ફેકી દીધો હતોપોલીસે કયા પ્રકારનો વેસ્ટ કેમીકલના જથ્થો છે તેની ચકાસણી કરવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગેરી કમ્પાઉન્ડ રેસકોર્સ જાણ કરાઇ હતી. જેથી GPCBના અધિકારીઓ તુરંત સ્થળ પર ગયા હતા અને કેમિકલના સેમ્પલ લઇ ચકાસણી કરી હતી. ત્યારે આ કેમીકલ હેઝાર્ડસ વેસ્ટ હોવાનુ જાણવા મળ્યું હતું. જેની પોલીસે તપાસ કરતા આ વેસ્ટ કેમીકલ ભરી સગીર કોઈ ઔદ્યોગીક એકમમાંથી ટ્રકમાં ભરીને લાવ્યો હતો અને તરસાલી ધનીયાવી રોડ ઉપર પુરંદર ફાર્મની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ફેકી દીધો માલુમ પડ્યું હતું. 60થી 70 ટન વેસ્ટ કેમિકલ તરસાલી ધનીયાવી રોડ ઉપર નાખી આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેસ્ટ કેમીકલનો જથ્થો મોકલનાર ઔદ્યોગીક એકમના સંચાલકો,વેસ્ટ કેમીકલ મોકલનાર, લાવનાર સગીર તેમજ વાહનોના માલિકો તથા ડ્રાઇવરે વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમદાવાદમાં કાપડ વેપારી સાથે 4.59 કરોડની ઠગાઈ:45 દિવસની ઉધારીએ માલ લઈને અનેક વેપારીઓ થયા ગાયબ
અમદાવાદના એક કાપડના વેપારીને અન્ય વેપારીઓએ રૂપિયા 4.59 કરોડનો ચૂનો લગાવ્યો છે. વેપારી પાસેથી કરોડો રૂપિયાનું ડ્રેસ મટીરીયલ 45 દિવસની ઉધારી પર લઈને પૈસા ચૂકવ્યા ન્હોતા. આ બાબતે ભોગ બનનાર વેપારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે. બજારની પ્રથા મુજબ 45-50 દિવસની ઉધારીએ માલ લેવાની વાત થઈઆસ્ટોડીયા ચકલા ખાતે રહેતા શાબીરભાઇ લુકમાનભાઇ મોકમજીવાલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ દાણીલીમા ખાતે એસ.એમ. મોકમજીવાલા નામે ફર્મ ધરાવી લેડીઝ ડ્રેસ મટીરીયલના કપડાનો હોલસેલ વેપાર કરે છે. થોડા મહિનાઓ પહેલા બજારના દલાલ ફારૂકભાઇ મોકમજીવાલા જયશ્રી ક્રિએશનના માલિક અજય મહેશકુમાર સુખીયાણી, તેમના ભાઇ સન્ન મહેશકુમાર સુખીયાણી અને પિતાજી મહેશકુમાર સુખીયાણીને લઈને આવ્યા હતા. જયશ્રી ક્રિએશનના માલિક અજય મહેશભાઇ અને તેમના બે પુત્રોએ જુદા-જુદા ડ્રેસ મટીરીયલના સેમ્પલ લઈને તેને ચેક કર્યા હતા અને તેમની સાથે ધંધાની વાત કરી હતી. જેમાં બજારની પ્રથા મુજબ 45-50 દિવસની ઉધારીએ માલ લેવાની વાત થઈ હતી. બાકી 3.29 કરોડ રૂપિયા નહીં ચૂકવી તેમને ચૂનો લગાવ્યોવાત થયા બાદ તેમણે શાબીરભાઇ પાસેથી રૂપિયા 5.58 કરોડનો માલ લીધો હતો. 45-50 દિવસમાં તેનું પેમેન્ટ કરી દેવાની વાત થઈ હતી. જેમાં તેમણે રૂપિયા 2.28 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા, જ્યારે બાકી 3.29 કરોડ રૂપિયા નહીં ચૂકવી તેમને ચૂનો લગાવ્યો હતો. આટલું જ નહીં, કાપડ બજારના અન્ય ચાર વેપારીઓ કે મોહિતકુમારના પુનિત બુદરાનીએ 83.89 લાખ, શારદા એન્ટરપ્રાઇઝના દિનેશ ટેકવાનીએ 11.34 લાખ, શ્રી સિદ્ધિવિનાયક ક્રિએશનના દિલીપ રાઘાનીએ 20.65 લાખ અને એસ.એ. ટેક્સફેના મોહમદ સિરાજ પાલીવાલાએ 13.64 લાખ નહીં ચૂકવી. શાબીરભાઇ સાથે ઠગાઈ કરી છે. આ તમામ વેપારીઓ સામે શાબીરભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.
જામનગરમાં 12 પેઢીઓ પર GST વિભાગના દરોડા:GIDC, ઉદ્યોગનગર સહિત બ્રાસ ઉદ્યોગના વેપારીઓના સ્થળોએ તપાસ
જામનગરમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા 12 પેઢીઓ પર કલાકોથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડા જામનગર GIDC, ઉદ્યોગનગર સહિત વેપારીઓની ઓફિસો અને ઘરો પર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, દરેડ GIDC, શંકર ટેકરી ઉદ્યોગનગર અને બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસો અને નિવાસ્થાનો પર GST અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો, બિલિંગ અને અન્ય શંકાસ્પદ લેવડદેવડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં થયેલા વ્યવહારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગેની સંપૂર્ણ હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલી 12 પેઢીઓ પરની આ તપાસથી ફરી એકવાર ચર્ચા જાગી છે.
વડોદરા શહેરમાં 18 ઓક્ટોબરે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. સ્નાતક મહિલાઓ માટે એપ્રેન્ટીસ અને રોજગારીની આ ઉત્તમ તક છે. વિશેષ એપ્રેન્ટીસ અને રોજગાર મેળો યોજાશેમોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને રીલાયન્સ નિપ્પોન લાઇફ ઈન્સ્યુરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા- 2 શાખાના સંયુકત ઉપક્રમે તારીખ 18/10/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટીસ હાઈટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ,વડોદરા ખાતે 21થી 45 વર્ષની મહિલા ઉમેદવારો માટે વીમા ક્ષેત્ર માટે એપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્નાતક મહિલાઓ માટે રોજગારીની ઉત્તમ તક21થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટીસ તરીકે જોડાવા તેમજ 30થી 45 વર્ષની મહિલા સ્નાતકને વીમા ક્ષેત્રમાં રોજગારી માટે તક આપવામાં આવશે. ભરતી મેળામાં લાઈફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગની કુલ 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ માટે ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારો કે જેમની ઉંમર 21થી 45 વર્ષની વચ્ચે હોય તેઓને રીઝયુમ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.
અમદાવાદના રામોલમાં મામા ભાણેજની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ-અલગ બહાના હેઠળ રોકાણ કરાવીને ઊંચુ વળતર આપવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. ઠગ ટોળકીએ મોટાભાગે નજીકના સંબંધીઓને જ ટાર્ગેટ બનાવ્યા છે. બચત મંડળી, જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં રોકાણ કરાવી ઊંચુ વળતર આપવાનું કહીને 16 લોકો પાસેથી 5.42 કરોડ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે. આરોપીઓએ હજી પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ એવા મહેશ જૈનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્રિપુટીએ પૈસાનો ક્યા-ક્યા ઉપયોગ કર્યો તેની પોલીસે તપાસ શરુ કરીપકડાયેલ આરોપી મહેશ જૈન મણીનગરમાં મેડીકલ સ્ટોર ધરાવે છે. જ્યારે તે અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટો શરૂ કરી છે. જ્યાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેમ કહીને લોકો પાસે રોકાણ કરાવતો હતો અને કરોડો રૂપિયા લઇ રફુચક્કર થઇ ગયો હતો. આરોપી બચત મંડળી, મહેશ મેડીકલ, જૈન કેપીટલ અને દિશા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં લોકો પાસે રોકાણ કરાવતો હતો. આરોપીએ મે 2024થી લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, ત્રિપુટીએ છેતરપિંડી આચરીને એકઠા કરેલા રૂપિયાનો ઉપયોગ ક્યા-ક્યા કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. છેતરપિંડીનો આંકડો હજી પણ વધી શકે એવી શક્યતાહાલમાં પોલીસે મહેશ જૈનની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.. જ્યારે અન્ય બે ફરાર આરોપી નવીન જૈન અને શુભમ જૈનને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. આરોપીઓએ આ સિવાય પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે. જેથી, છેતરપિંડીનો આંકડો હજી પણ વધી શકે એવી શક્યતા છે..
અમીરગઢ: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેજની એક સરકારી બસમાંથી 30 કિલોથી વધુ ગાંજો પકડાયો છે. આ માદક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹3.30 લાખ અંદાજવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન રેવદરથી અમદાવાદ-વડોદરા જઈ રહેલી રાજસ્થાન રોડવેજની બસને રોકાવીને તપાસ કરવામાં આવી હતી. બસમાં તપાસ કરતા, મુસાફરોની સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા પર ચાર શંકાસ્પદ થેલા પડ્યા હતા. પોલીસે શંકાના આધારે આ થેલાઓની તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા ગાંજા ભરેલા થેલાઓ કોના છે તે અંગે કોઈ માહિતી મળી નથી. બસના ચાલક અને કંડક્ટરે પોલીસને જણાવ્યું હતું કે, મુસાફરો બસમાં બેસે છે અને ઉતરે છે, તેથી આ થેલા કોના છે તેની તેમને જાણ નથી. પોલીસે 30.307 કિલો ગાંજો, જેની કિંમત ₹3,30,700 છે, તે કબજે કર્યો છે. બસને જવા દઈ પોલીસે આ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
“બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ તથા તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, પરિશ્રમ વિના પરિણામ શક્ય નથી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સમયે આવનારા પડકારોનો સામનો કેવી રીતે કરવો અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું લક્ષ્ય કેવી રીતે પાર પાડવું તે વિશે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે નિષ્ઠાવાન અને જવાબદાર અધિકારી બની શ્રેષ્ઠ ભારતનું ઘડતર કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપે તેવી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા દ્વારા પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી, ગ્રાઉન્ડ પાસ કરવા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને પોલીસ વિભાગને આનુષાંગિક સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિસર તૈયારી કેવી રીતે કરવી સહિતનું માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમ તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને અને ‘પાલક માતા-પિતા યોજના’ના લાભાર્થીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ અધિકારી એમ.જી. વારસુર, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડ, વિદ્યાર્થિનીઓ તેમજ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મોડાસામાં કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી:મહિલા અને બાળ વિભાગની યોજનાઓ, મિશન શક્તિની સમીક્ષા કરાઈ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિભાગની જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિવિધ મહિલા અને બાળ વિભાગની યોજનાઓની કામગીરીનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો. બેઠકમાં મહિલા અને બાળ વિભાગ અંતર્ગત ચાલી રહેલા પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ માસમાં કરાયેલા કાઉન્સેલિંગ અને ભિલોડા તેમજ બાયડ ખાતે નવા શરૂ કરાયેલા સબ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લામાં મિશન શક્તિ અંતર્ગત ચાલી રહેલી બેટી બચાવો, બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ યોજના, તેરે મેરે સપને કાર્યક્રમ અને સંકલ્પ - ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન જેવી યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી વિવિધ શિબિરો, સેમિનારો, કાઉન્સેલિંગ અને કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, મહિલા અને બાળ વિભાગ અધિકારી હસીના મન્સૂરી, જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે. એટલે જ આ વખતે મંત્રીમંડળમાં ફેરફાર વખતે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવું હશે એને લઈને ઘણો ગણગણાટ થઈ રહ્યો છે. અત્યારના તબક્કે ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લીધા છે. એ પહેલાં કેબિનેટમાં 5 મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા. પરંતુ રાજકીય ઉલટફેરાં કોનું પત્તુ કપાશે અને કેવા સમીકરણના આધારે નવા ચહેરાઓને સ્થાન મળશે તેની સૂત્રો મારફતે કેટલીક જાણકારી મળી છે. DyCMની ફોર્મ્યુલા હોય તો સૌરાષ્ટ્રના યુવા નેતાને તક મળી શકેનવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો. એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું વજન વધે તેવા સંકેત મળી રહ્યા છે. વળી, જો નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પર ભાજપ આગળ વધે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ યુવા નેતાને તક મળી શકે છે. બદલાયેલા સમીકરણની અસર મંત્રીમંડળ પર દેખાશેથોડા સમય પહેલાં જ બોટાદમાં આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોનું આંદોલન અને ત્યાર બાદનો ઘટનાક્રમ તેમજ ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાનું વધેલું કદ તથા ખેડૂત નેતા રાજુ કરપડા લાઇમલાઇટમાં આવ્યા એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. ખેડૂતો ભાજપથી દૂર ન થાય અને આમ આદમી પાર્ટીના ઉભરતા ચહેરાઓ સામે મજબૂત લડત આપી શકાય તે માટે પાટીદાર નેતાની તાતી જરૂર છે. 2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમની સાથે અન્ય 16 મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીઓ હતા. પોણા ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં ફેરફાર કરાયો નથી. એટલે આ વખતે નવું મંત્રીમંડળ 27 સભ્યો સાથે પૂર્ણ કદનું હોય એવી શક્યતા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી પણ મંત્રીઓની સંખ્યા વધવાની સંભાવના છે. જયેશ રાદડિયાનું નામ અગ્રેસરમંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે સૌથી ચર્ચાસ્પદ કોઈનું નામ હોય તો એ છે જયેશ રાદડિયા. ખેડૂત નેતા, પાટીદાર સમાજનો ઉભરતો ચહેરો, રાજકીય રીતે મક્કમ નિર્ણય લેવાની શક્તિ વગેરે તેમની પ્રોફાઇલ મજબૂત બનાવે છે. ચર્ચા તો ત્યાં સુધીની પણ છે કે જયેશ રાદડિયાને મોટા કદનું મંત્રાલય સોંપવામાં આવી શકે છે. કારણ કે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકવા માટે એક યુવા નેતાની જરૂર છે. હવે મોઢવાડિયાનો પણ વારો આવી શકેજયેશ રાદડિયા બાદ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાં અર્જુન મોઢવાડિયાનું નામ મંત્રીમંડળ માટે પાક્કુ માનવામાં આવી રહ્યું છે. એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા 9 માર્ચ, 2024ના રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ પોરબંદરથી ફરી એકવાર ધારાસભ્ય પણ ચૂંટાયા. જો કે મંત્રીમંડળ વિસ્તરણ થાય તેની તેમણે લાંબા સમય સુધી રાહ જોઈ. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયાને તેમના કદ પ્રમાણે કેબિનેટ મંત્રી બનાવીને મહત્વનું ખાતું અપાઈ શકે છે. રાજકોટમાંથી ઓબીસી સમાજના મજબૂત નેતા ઉદય કાનગડને તક મળી શકે છે. એટલે કે ભાજપ નવા ચહેરાને સ્થાન આપે એવી શક્યતા છે. કાનગડ અત્યારે ભાજપ સંગઠનમાં ચૂંટણી અધિકારીના પદે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા દર્શિતા શાહનું નામ પણ ચર્ચામાં છે. જો દર્શિતા શાહને મંત્રી બનાવે તો ભાનુબેન બાબરિયાને રજા આપવામાં આવે તેવી શક્યતા છે. રિવાબાને મંત્રી બનાવવા ભાજપે કેવા સમીકરણ સાધવા પડશે?જો કે એક સમીકરણ એવા પણ બની રહ્યા છે કે ભાનુબેનના સ્થાને મહિલા પ્રતિનિધિત્વ માટે દર્શિતા શાહ અથવા રિવાબા જાડેજાને સ્થાન મળી શકે છે. પરંતુ રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં લેવામાં આવે તો વધુ એક સમીકરણનું ભાજપે ધ્યાન રાખવું પડે એમ છે. રિવાબા જાડેજા જામનગર જિલ્લામાંથી ધારાસભ્ય છે. જો રિવાબાને સ્થાન મળે તો મૂળુ બેરાને દૂર કરવા પડે. પરંતુ મૂળુ બેરાની સમાજમાં પકડ ખૂબ સારી છે અને દ્વારીકાનગરીમાં તેમના વિકાસના કામ બોલે છે. રિવાબાને સ્થાન મળે તો તેમણે પૂનમ માડમની નજીક રહીને અને વિશ્વાસમાં લઈને કામ કરવું પડશે. જીતુ વાઘાણી ફરી એકવાર બની શકે છે મંત્રીભાવનગર જિલ્લામાંથી આવતા જિતુ વાઘાણી અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. એટલું જ નહીં, તેઓ સરકારના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને શિક્ષણ મંત્રી બનાવાયા હતા. પણ 2022ની વિધાનસભા ચૂંટણી પછી બનેલી કેબિનેટમાં સ્થાન નહોતું મળ્યું. હવે મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો જીતુ વાઘાણીને ફરી એકવાર મંત્રી બનાવાઈ શકે છે. એટલું જ નહીં, મહત્વનું ખાતુ પણ આપવામાં આવે એવી ચર્ચા છે. કોળી નેતા કુંવરજી બાવળિયાનું મંત્રીમંડળમાં સ્થાન યથાવત રાખવાની શક્યતાઓ પણ આ વખતે સસ્પેન્સ છે. કારણ કે બીજા કોળી નેતા હીરા સોલંકીનું નામ પણ ઘણુ ચર્ચામાં છે. એટલે કે જો હીરા સોલંકીને સ્થાન મળે તો કુંવરજીની શક્યતાઓ ઓછી છે. જો કે, સૌરાષ્ટ્રના કોળી સમાજ પર કુંવરજીની પકડ મજબૂત છે. અમરેલી જિલ્લામાંથી કૌશિક વેકરિયા અને મહેશ કસવાલામાંથી કોઈકને મંત્રીમંડળમાં સ્થાન મળે એવી ચર્ચા છે, જેમાં વેકરિયાનું પલડું ભારે છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી નવા યુવા નેતાઓને સ્થાન આપવામાં આવશે. પરંતુ સુરેન્દ્રનગર અને પાડોશી જિલ્લો કચ્છના એકપણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળે તો નવાઈ નહીં. 2022ની વિધાનસભા ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાંચ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા. જ્યારે પરશોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવી એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગોધરામાં યુવક પર હુમલો, પત્ની-ભાઈને પણ માર:શાકભાજી લઈને ઘરે ફરતી વખતે ઘટના, ત્રણ સામે ફરિયાદ
ગોધરાના શક્તિ નગર સોસાયટી વિસ્તારમાં શાકભાજી લઈને ઘરે પરત ફરી રહેલા એક યુવક પર હુમલો થયો હતો. આ ઘટનામાં યુવકની પત્ની અને ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સુનિલકુમાર વિનોદકુમાર પરમારના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ બજારમાંથી શાકભાજી લઈને ઘરે આવી રહ્યા હતા. તે સમયે સર્વોદય નગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પ્રવિણભાઈ બામણિયા તેમના ઘર આગળ રસ્તા વચ્ચે ઉભા હતા અને સુનિલકુમારને તાકીને જોઈ રહ્યા હતા. સુનિલકુમાર કંઈ બોલ્યા વગર ઘરે જતા રહ્યા હતા. શાકભાજી ઘરમાં મૂક્યા બાદ સુનિલકુમાર ઘરની બહાર ઉભા હતા ત્યારે નિલેશભાઈએ તેમને ગાળો આપવાનું શરૂ કર્યું. સુનિલકુમારે ગાળો આપવાનું કારણ પૂછતાં નિલેશભાઈ ઉશ્કેરાઈ ગયા અને જોર જોરથી બુમો પાડવા લાગ્યા. આ દરમિયાન અંજનાબેન સંજયભાઈ બામણિયા અને સંજયભાઈ બામણિયા પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓએ સુનિલકુમાર અને તેમના ભાઈ હેમંતભાઈને ગાળો આપી હતી. અંજનાબેને હેમંતભાઈને છૂટા પથ્થર માર્યા હતા. સંજયભાઈ અને નિલેશભાઈએ સુનિલકુમારની પત્ની કામિનીબેનને પણ છૂટા પથ્થર મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટના બાદ સુનિલકુમારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તેમના ભાઈ હેમંતભાઈ અને પત્ની કામિનીબેનને ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યા હતા. આરોપીઓ નિલેશભાઈ, અંજનાબેન અને સંજયભાઈએ સુનિલકુમાર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજનાબેને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જતા સમયે રસ્તામાં પ્રદિપભાઈ મનુભાઈ બામણિયાએ પણ સુનિલકુમારને ધમકી આપી હતી કે જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે તો તેમને અને તેમના પિતાને જાનથી મારી નાખવામાં આવશે. સુનિલકુમારે આ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.
દિવાળીના પવિત્ર પર્વને ઉજવવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા.20 ઓક્ટોબરથી રવિવાર, તા.26 ઓક્ટોબર, 2025 દરમિયાન અહીં પ્રકાશનું પર્વ દીપાવલી ઉજવાશે, જેમાં 10 હજાર દીવડાઓની હારમાળાથી પરિસરને પ્રકાશમય બનાવવામાં આવશે. આ પર્વ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે, જેમ કહેવાયું છે – 'તમસો મા જ્યોતિર્ગમય' – અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની યાત્રા. સનાતન ભારતીય સંસ્કૃતિની આ ભાવનાને જીવંત કરતું અક્ષરધામ સતત 33 વર્ષથી આ પર્વને જન-જન સુધી પહોંચાડી રહ્યું છે. પરિસરના તમામ ભાગો પ્રકાશથી ઝળહળી ઉઠશેદર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષરધામ પરિસરમાં સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમાન મંદિર, હરિયાળા બગીચાઓને રોશન કરતું 'ગ્લો ગાર્ડન' અને 'નીલકંઠ વાટિકા'માં નયનરમ્ય રોશનીનું વિશેષ આકર્ષણ રહેશે. અહીં સંગીત અને 108 ગૌમુખમાંથી વહેતી જલધારા વચ્ચે સ્થિત 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ દર્શકોને 'સત્યમ્ – શિવમ્ – સુંદરમ્'ની આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે. દર્શનાર્થીઓ આ દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે 6થી 7.45 વાગ્યા દરમિયાન કરી શકશે, જેમાં પરિસરના તમામ ભાગો પ્રકાશથી ઝળહળી ઉઠશે. વોટર શૉ સહિત તમામ આકર્ષણો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશેખાસ વાત એ છે કે, સોમવાર તા. 20 ઓક્ટોબર,2025ના રોજ અક્ષરધામના પ્રદર્શન ખંડો, વોટર શૉ સહિત તમામ આકર્ષણો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. આ આયોજન દ્વારા અક્ષરધામ દીપાવલીના સંદેશને જનમાનસમાં અંકિત કરવાનો પ્રયાસ કરે છે, જે અંધકારને દૂર કરી પ્રકાશની જ્યોતિ ફેલાવે છે. બૃહદારણ્યક ઉપનિષદના આ મંત્રને જીવંત કરતું આ પર્વ ભક્તો અને પર્યટકો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પૂરો પાડશે. તહેવાર દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી અક્ષરધામના પ્રવક્તાએ જણાવ્યું કે, આ પર્વ દરમિયાન લાખો દર્શકો અહીં આવીને પ્રકાશના વિજયની ઉજવણી કરે છે. આ વર્ષે પણ અમે તમામને આમંત્રિત કરીએ છીએ કે, આ પવિત્ર વાતાવરણમાં આવીને દિવાળીની ખુશીઓ અનુભવો. જો તમે પણ આ પર્વમાં જોડાવા માંગો છો, તો અક્ષરધામની અધિકૃત વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકો છો. આ તહેવાર દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ગઢડાના યુવાન વિશાલ સોલંકીએ ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. તેમનું પરિવાર, મિત્રો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલ સોલંકીના વતન પરત ફરતા તેમના મિત્રવર્તુળ અને પરિવારે સ્વાગત રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, કોળી સમાજના યુવા આગેવાન કિશનભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાલ સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા.
મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જૂના પ્રેમ પ્રકરણના વેરને કારણે મારામારી અને છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે બીલખાના કિશોરભાઈ મકનભાઈ મકવાણા ઉ.51 મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કિશોરભાઈના પુત્રના લગ્ન ઝીંઝુડાના રમેશભાઈ ધારાવાડીયાની પુત્રી મમતા ઉર્ફે ઢણું સાથે થયા હતા. જોકે દોઢ વર્ષ પહેલાં તેમની પુત્રવધૂ આરોપી જયદીપ જગદીશ ગરસાણીયા રહે. ઝીંઝુડા વાળા સાથે ભાગી ગઈ હતી. ગઈકાલે આ બંને પક્ષો લગ્ન પ્રસંગમાં ઝીંઝુડા ગામે ભેગા થયા હતા, ત્યારે આ જૂનું વેર સપાટી પર આવ્યું હતું. આ પ્રસંગ દરમિયાન આરોપીઓ જયદીપ જગદીશ ગરસાણીયા અને ભરત ઉર્ફે મુન્નો ભીખુ ગરસાણીયાએ કિશોરભાઈ મકવાણા પર હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ કિશોરભાઈને છરીના હાથા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી. વધુમાં, આરોપીઓએ ફરિયાદીના પત્નીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મેંદરડા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા છે,જેના કારણે બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.વિસાવદરના પ્રેમપરા ગામે રહેતા વિજયભાઈ દુર્લભજીભાઈ વાછાણી ઉ.44 ને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હતી. આ બીમારીથી કંટાળીને વિજયભાઈએ પોતાની જાતે સેલ્ફોસનો પાવડર પી લીધો હતો,વિસાવદરના પ્રેમપરા ગામે રહેતા વિજયભાઈ દુર્લભજીભાઈ વાછાણી ઉ.44 ને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હતી. આ બીમારીથી કંટાળીને વિજયભાઈએ પોતાની જાતે સેલ્ફોસનો પાવડર પી લીધો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના નાનાભાઈ મનીષભાઈ દુર્લભજીભાઈ વાછાણીએ આ અંગે વિસાવદર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મેંદરડાના સમઢીયાળામાં ગળે ફાંસો આત્મહત્યા મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે પણ આત્મહત્યાની ઘટના બની છે. સમઢીયાળા ગામે રહેતા મુકેશભાઈ મોહનભાઈ કોટડીયા ઉ.45 એ કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ આ પગલું ભર્યું હતું.મુકેશભાઈએ ગુંદાના ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુઃખદ બનાવ અંગે મૃતકના પત્ની અનીતાબેન મુકેશભાઈ મોહનભાઈ કોટડીયાએ મેંદરડા પોલીસને જાણ કરી છે અને પોલીસે આ બનાવના મૂળ કારણો શોધવા તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા યાત્રીઓની સુવિધા તથા દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન તેમની યાત્રા માંગને પૂરી કરવાના હેતુથી પ્રતાનગર-જયનગર સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09151/09152 પ્રતાપનગર-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ (અઠવાડિક)ટ્રેન નંબર 09151 પ્રતાનગર – જયનગર સ્પેશિયલ રવિવાર, 19 અને 26 ઓક્ટોબર 2025ના રોજ 16:35 કલાકે પ્રતાપનગરથી ઉપડશે અને મંગળવારના રોજ 10:00 કલાકે જયનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09152 જયનગર – પ્રતાપનગર સ્પેશિયલ મંગળવાર, 21 અને 28 ઓક્ટોબર, 2025ના રોજ 2:00 કલાકે જયનગરથી ઉપડશે અને ગુરૂવારના રોજ 5:30 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની મુરવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, મિર્જાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને મધુબની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશેટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
હડદડ ઘટનામાં રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ:બોટાદ લવાયા, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે
બોટાદના હડદડ ગામે બનેલી ઘટમાં રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ કરવામાં આવી છે. તેમને અમદાવાદથી બોટાદ લાવવામાં આવ્યા છે.આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે ગેરકાયદેસર મહાસભા યોજવા દરમિયાન બની હતી. આ સભામાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે રાજુ કરપડા, પ્રવિણ રામ સહિત કુલ 85 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અત્યાર સુધીમાં 85 આરોપીઓ પૈકી ૬૫ની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 18 રિમાન્ડ પર છે અને 47ને જેલ હવાલે કરાયા છે. આ કેસમાં 20 લોકો ફરાર હતા, જેમાંથી રાજુ કરપડા અને પ્રવિણ રામની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય 18 આરોપીઓને પકડવાના બાકી છે.વધુ તપાસ માટે આવતીકાલે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.આ અંગેની માહિતી બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને આપી હતી.
આપઘાત દુષ્પ્રેરણનો આરોપી ઝડપાયો:દહેજ પોલીસે એક વર્ષથી ફરાર આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપ્યો
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસને મોટી સફળતા મળી છે. એક વર્ષથી આપઘાતના દુષ્પ્રેરણના ગુનામાં નાસતો ફરતો આરોપી પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં તેમજ જિલ્લામાં બહારના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલા અને સેકન્ડ પી.આઈ. કે.જી.સિસોદિયાની ટીમે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન દહેજ વિસ્તારમાં આવેલી રીજેન્ટા હોટલમાં કામ કરતી મહિલા પ્રિયા દાસના આપઘાતના કેસમાં શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2024ના 12 સપ્ટેમ્બરના રોજ ભેંસલી ગામે આવેલ સર્જન વિલા સોસાયટીના રૂમ નં.18માં પ્રિયા દાસે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે હોટલમાં સાથે કામ કરતો શુભાંકર ઓરાવ નામનો યુવક મહિલાને પ્રેમના ભુલાવામાં ફસાવી, સંબંધ તોડીને વાતચીત બંધ કરી દેતાં તે માનસિક તાણમાં આવી ગઈ હતી. જેના પગલે મહિલાએ આપઘાત કર્યો હતો.આ ઘટનાને પગલે દહેજ પોલીસ સ્ટેશને તા. 11 ફેબ્રુઆરી 2025ના રોજ બી.એન.એસ. કલમ 108 હેઠળ આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો હતો. ગુનાનો આરોપી ત્યારથી નાસતો ફરતો હતો. પોલીસે સૂત્રોના આધારે પી.આઈ.એચ.બી.ઝાલાને બાતમી મળી કે,આરોપી હાલ રોતબડી (પશ્ચિમ બંગાળ) ખાતે મહિન્દ્રા લોજિસ્ટિક્સમાં કામ કરે છે.બાતમીના આધારે દહેજ પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આરોપી શુભાંકર ઓરાવ મળી આવ્યો હતો.પુછપરછ દરમિયાન આરોપીએ ગુનામાં સંડોવણી કબૂલી હતી.બાદમાં પોલીસએ નજીકની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રીમાન્ડ મેળવી આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત કોંગ્રેસે યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા બહાર પાડવામાં આવેલ માનવ વિકાસના સૂચક આંક 'હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ'નો રિપોર્ટ જાહેર કરી ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા છે. હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ મુજબ દુનિયાના 193 દેશોમાં ભારત 130મા નંબરે છે તો ગુજરાત લક્ષદ્વીપ, સિક્કીમ અને મિઝોરમથી પણ પાછળ 25મા ક્રમાંકે જોવા મળી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર અને વિકાસ મોડેલ પર આકરા પ્રહાર ર્ક્યા છે. ભારત દેશમાં અને ગુજરાતમાં વિકાસ મોડેલ ખાડે ગયું હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ધનિક વર્ગ અતિ ધનિક થયો છે અને તેને જ ધ્યાનમાં રાખીને નીતિ ઘડવામાં આવતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દુનિયાના 193 દેશમાં ભારત 130માં નંબરે જોવા મળી રહ્યું છેપૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, કોઈપણ વિકાસના ત્રણ સૂચન આંક ભેગા કરીને એક સૂચક આંક બનાવવામાં આવે છે. જે સૂચક આંક યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ બહાર પાડે છે. જેમાં હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષમાં દુનિયાના 193 દેશમાં ભારત 130માં નંબરે જોવા મળી રહ્યું છે. ભારત વિશ્વગુરુ નહીં અત્યારે તો વિશ્વ દેવ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. આ રિપોર્ટમાં ગુજરાત અતિ વિકસિત રાજ્યોમાં ક્યાંય પણ જોવા મળતું નથી. મિઝોરમ સાથે પણ ગુજરાતનો નંબર આવી શક્યો નથી. મધ્યમ કક્ષાના રાજ્યોમાં ગુજરાતનો નંબર 25માં નંબરે જોવા મળે છે. ગુજરાતનું સ્થાન મેઘાલય, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોથી પાછળ જોવા મળી રહ્યું છે. દેશમાં શિક્ષણ આરોગ્ય અને આયુષ્ય ચારેય મુદ્દે આપણે નોંધપાત્ર દુર્ગતિ કરી છે. સરકારના અહેવાલો જ સરકારની કામગીરીની પોલ ખોલી રહ્યા છેવધુમાં પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, 85 કરોડ લોકોને 5 કિલો ઘઉં અને 5 કિલો અનાજ આપવામાં આવે છે. સરકાર કહે છે કે, ગરીબી રેખા હેઠળથી ઉપર લઈને આવ્યા છીએ તો આ 85 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા હેઠળ નીચે જ જીવી રહ્યા છે. આ દેશની સરકાર ઉદ્યોગપતિ માટે, ઉદ્યોગપતિ થકી અને ઉદ્યોગપતિ પતિઓ હિત માટે જ કામ કરી રહી છે. ધનિક અત્યારે વધુ ધનિક થઈ રહ્યો છે અને ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. અત્યારે ધનિકોને લક્ષ્યમાં રાખીને જ નીતિ ઘડવામાં આવે છે. ગુજરાત મોડલ અને ગુજરાતનો વિકાસ તેમજ ભારત વિશ્વગુરુ બને તેવા દાવા સદંતર પોકળ ગયા છે. સરકારના અહેવાલો જ સરકારની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. વિકાસમાં આપણે પાછા પડી રહ્યા છીએ તે આ અહેવાલ સાબિત કરે છે.
ડાંગ જિલ્લામાં આજે એક જ દિવસે ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. સદભાગ્યે, આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રથમ અકસ્માત આહવા નગરમાં બન્યો હતો, જ્યાં મકાઈ ભરેલો એક ટેમ્પો અચાનક પલટી ગયો. આહવાના તળાવ પાસે આવેલી રેલિંગ તોડીને ટેમ્પો સીધો ગાર્ડનમાં ઘૂસી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ટેમ્પો પલટી જવાને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, સાપુતારા ઘાટમાર્ગ પર આજે બે અલગ-અલગ સ્થળોએ બે આઇસર ટેમ્પોના અકસ્માતો થયા હતા. પહાડી વિસ્તાર અને વળાંકવાળા માર્ગને કારણે બંને ડ્રાઈવરોએ વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બંને ટેમ્પોના ડ્રાઈવરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોલીસે ત્રણેય અકસ્માતોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાહનોની અતિ ઝડપ અને ઘાટ માર્ગના વળાંક પર બ્રેક નિયંત્રણ ગુમાવવું એ અકસ્માતોના મુખ્ય કારણો છે. આહવા નગરમાં બનેલા અકસ્માત બાદ પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પ્રશાસનને વિનંતી કરી છે કે, શહેરના અને ઘાટ વિસ્તારના માર્ગો પર ચેતવણી બોર્ડ, સ્પીડ બ્રેકર અને સુરક્ષિત રેલિંગની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે. ડાંગ જિલ્લાની પહાડી ભૂપ્રકૃતિ અને વળાંકવાળા રસ્તાઓને કારણે વાહનચાલકો માટે સાવચેતી અનિવાર્ય છે. પ્રશાસન તરફથી વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, ખાસ કરીને વરસાદી મોસમમાં ઘાટ વિસ્તારમાં ધીમી ગતિએ વાહન ચલાવવું, સીટબેલ્ટનો ઉપયોગ કરવો અને સલામતીના નિયમોનું પાલન કરવું.
દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના મુખ્ય બજારો અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે.બહારગામ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી ટ્રાફિકનું પ્રમાણ વધે છે. આ સ્થિતિમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા ભાવનગર પોલીસ વિભાગે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહન પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અધિક જિલ્લા.મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યુંગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા તા.16 ઓક્ટોબરથી તા.21 ઓક્ટોબર સુધી દરરોજ બપોરના 2 કલાકથી રાત્રિના 12 કલાક સુધી ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી.રોડથી ખારગેટ સુધી, શેલારશા ચોકથી હેરીસ રોડના નાકા સુધી, બાર્ટન લાઇબ્રેરીથી વોરા બજારથી એમ.જી.રોડ સુધી, ગોળ બજારથી એમ.જી.રોડ સુધી, ગંગાજળીયા તળાવથી હેવમોર ચોકથી ઘોઘાગેટ સુધી, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ઘોઘાગેટ સુધી, હલુરીયા ચોકથી પીરછલ્લા રોડથી ટી.બી જૈન સ્કુલ એમ.જી.રોડ સુધી, ડબગરવાળી શેરીથી હાઇકોર્ટ રોડ, હજુર પાઇગા રોડથી હાઇકોર્ટ રોડ, જમાદાર શેરીથી એમ.જી.રોડ સુધીના રસ્તાઓમાં કોઈપણ જાતના ભારે અથવા હળવા વાહનોને લાવવા કે લઈ જવા નહીં તથા પાર્કિગ કરવા પર અધિક જિલ્લા.મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે શેલારશા ચોકથી સ્ટેશન રોડ તરફ, મોતીબાગ ટાઉનથી નવાપરા ચોકથી હલુરીયા ચોકથી દિવાનપરા રોડનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, આ જાહેરનામું ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, પોસ્ટલ, મ્યુનિસિપલ ઈમરજન્સી વાહન, સરકારી વાહનો, ડેરી વાહનો તેમજ મીડિયા વાહનો પર લાગુ નહીં પડે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના અમલ માટે ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ હોદ્દેદારો સામે છેલ્લા દસ વર્ષના હિસાબો, બોનસની ચૂકવણી અને નિયમિત ચૂંટણીઓ ન યોજવા સહિતના મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. સભાસદોએ છેલ્લા દસ વર્ષના વાર્ષિક અહેવાલ ન મળવા, એક પણ ચૂંટણી પ્રક્રિયા જાહેર ન થવા, અને સભાસદ બોનસ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, છેલ્લા દસ વર્ષમાં એક પણ તાલુકામાં નવા ડિરેક્ટરને સ્થાન ન આપવા અને ખુલ્લી સાધારણ સભાનું આયોજન ન કરવા જેવા મુદ્દાઓ પર પણ સભાસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. સમિતિએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દસ હજારથી વધુ શિક્ષિત સભાસદો હોવા છતાં મંડળીને અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ શા માટે લેવી પડે છે. બેઠક સમાપ્ત થયા બાદ, સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સમિતિએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ પર સંતોષકારક નિર્ણય નહીં લેવાય, તો સભાસદો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં લેવાયાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવાઈ ગયાં છે. CM સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AAP નેતાઓને કાર્યાલય બહારથી પોલીસ ઉઠાવી ગઈ બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની માગ અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ બંને નેતા ઉપવાસ શરૂ કરે એ પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હડદડ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભડકાવવાના આરોપસર આ બંને નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સૌરાષ્ટ્ર-કચ્છની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્થળની પસંદગી હવે કરાશે. સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ સ્થળની પસંદગી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાપાન, કેનેડા અને યુરોપિયન દેશોને પાર્ટનર કન્ટ્રી બનાવવામાં આવ્યા છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં એક્સપોર્ટની તક મળશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો AMTSમાં ધનતેરસથી 3 દિવસ તમામને મફત મુસાફરી આગામી દિવાળી તહેવારના ત્રણ દિવસ અમદાવાદ શહેરના નાગરિકો AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌ પ્રથમ વખત નિર્ણય AMTS કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે AMTS કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો MG મોટર્સ સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા એમ.જી. મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ત્રણ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એમ.જી મોટર્સ કંપનીનું ગોડાઉન ચારે બાજુથી બંધ હોવાને કારણે જેસીબી મશીન દ્વારા દીવાલ તોડીને ફાયરબ્રિગેડની ટીમને અંદર જવાનો રસ્તો કરવામાં આવી રહ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'રંગતાળી નવરાત્રિ'નો ડોમ તૂટી પડતા એકને ઈજા સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લોન્ઝ ખાતે નવરાત્રિમાં 10 હજારથી વધુ ખેલૈયાની કેપેસિટી સાથે બનાવવામાં આવેલો વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક કામદારને પગ સહિતના શરીરના ભાગોમાં ઈજા પહોંચી છે, જ્યારે અન્ય કામદારો જે તે સમયે જમવા માટે ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફૂલનદેવી હત્યાકેસના આરોપીની ફિલ્મી સ્ટાઇલમાં રેલી ફૂલનદેવી હત્યાકેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેર સિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શેર સિંહ રાણાની ફિલ્મી સ્ટાઈલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કારખાનેથી ઘરે જઈ રહેલા રત્નકલાકારની જાહેરમાં હત્યા સુરતમાં ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખસ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તેલ ભરવા લોકો ડોલ-કેરબા લઇને દોડ્યા ખેડા પાસે પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પલટી જતાં 32 ટન પામોલિન ઓઇલની હાઇવે પર રેલમછેલ થતાં આજુબાજુના લોકો ડોલ-કેરબા સહિત જે હાથમાં આવ્યું એ લઇને ભરવા દોડ્યા હતા. જોકે, અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સગીર પર અત્યાચાર મામલે DGPને નોટિસ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યક્તિ દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ માનવ અધિકાર પંચ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. રાજ્ય પોલીસવડાને નોટિસ આપી આ મામલે બે અઠવાડિયાંમાં વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે મારામારીના એક કેસમાં સામેલ સગીર આરોપીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાખી એક વ્યક્તિએ માથાના વાળ ખેંચી કાઢ્યા હતા, જેનો વીડિયો એક પોલીસકર્મી દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. એ વાઈરલ થયા બાદ આ મામલે વાળ ખેંચનાર અને વીડિયો બનાવનાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત રાજ્યે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ 'ગ્રીન ગ્રોથ' અને 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ'ની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આજે મુંબઈ ખાતેના નેશનલ સ્ટોક એક્સચેન્જમાં વિધિવત્ લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બેલ વગાડીને આ બોન્ડની ખરીદી-વેચાણની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. 200 કરોડના ઇશ્યૂ સામે રૂ. 800 કરોડની જંગી માગસુરત મનપાએ રૂ. 200 કરોડના મૂલ્યના લિસ્ટેડ, ટેક્સેબલ, રિડીમેબલ, સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ મ્યુનિસિપલ બોન્ડ ડિબેન્ચર તરીકે આ ઇશ્યૂ જારી કર્યો હતો. આ ગ્રીન બોન્ડની વિશેષતા એ રહી કે તેને રોકાણકારો તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો. 6 ઓક્ટોબર, 2025ના રોજ ખુલ્લા મુકાયેલા આ બોન્ડ 9 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થયા ત્યાં સુધીમાં રૂ. 200 કરોડના ઇશ્યૂ સામે રૂ. 800 કરોડની જંગી માગ નોંધાઈ હતી, જે ઇશ્યૂના મૂલ્ય કરતાં 8 ગણું વધારે સબસ્ક્રિપ્શન દર્શાવે છે. આ આંકડો સુરત મહાનગરપાલિકાની દુરગામી યોજનાઓ અને આર્થિક વિશ્વસનીયતામાં રોકાણકારોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, રીટેલ સેક્ટરમાં કુલ બોન્ડના 15% એટલે કે રૂ. 30 કરોડ ફાળવવામાં આવ્યા હતા. લોકોની ગ્રીન ગ્રોથ અને સતત વિકાસમાં ભાગીદારીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ગ્રીન બોન્ડ માત્ર આર્થિક વ્યવહાર નથી, પરંતુ લોકોની ગ્રીન ગ્રોથ અને સતત વિકાસમાં ભાગીદારી છે. તેમણે SMCની આ પહેલને ગ્રીન પીપલ્સ ફાઇનાન્સિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. એકત્રિત રકમ પર્યાવરણ સરંક્ષણ અને એનર્જી પ્રોજેક્ટ્સ માટે કરાશેપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રમાણિત ગ્રીન બોન્ડ સુરત મહાનગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યો છે. આ બોન્ડ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ માત્ર પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે જ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સોલાર પાવર પ્રોજેક્ટ્સ, જળ સંરક્ષણ યોજનાઓ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને અર્થવ્યવસ્થા વચ્ચે એક ઉત્તમ સંતુલન જાળવ્યુંવિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતનું યોગદાન મુખ્યમંત્રી પટેલે વડાપ્રધાનના 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને યાદ કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટીને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે પર્યાવરણ અને અર્થવ્યવસ્થા વચ્ચે એક ઉત્તમ સંતુલન જાળવ્યું છે. વડાપ્રધાનનો 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ છે, જેને પૂર્ણ કરવા માટે ગુજરાતે પણ 'વિકસિત ગુજરાત @ 2047' રોડમેપ સહિત અનેક વિકાસલક્ષી પહેલો શરૂ કરી છે. સુરત શહેર સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં સમગ્ર દેશ માટે આદર્શ બનીને ઊભર્યું છે. 2047ના વિકાસ વિઝનને સાકાર કરવામાં એક પ્રેરક ઉદાહરણ આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુરતની સતત ઊર્જા પહેલ 2047ના વિકાસ વિઝનને સાકાર કરવામાં એક પ્રેરક ઉદાહરણ બનશે. અત્યાર સુધીમાં લગભગ 14 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવી ચૂકેલું સુરત ગ્રીન એનર્જીની મદદથી દુનિયાનું સર્વશ્રેષ્ઠ શહેરના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રહેતા કૌટુંબીક કાકા દાદા ના ભાઈઓ વચ્ચે જમીન મુદ્દે ઝઘડા ચાલતા હોય જેમાં 15 દિવસ પહેલા સર્જાયેલી મારામારીમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન મોત થતા મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. આ બનાવ અંગે રાજુલા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર રાજુલા શહેરના બીડી કામદાર વિસ્તારમાં રહેતા અને ખેતી ધરાવતા મહેબૂબ હકીમભાઇ જોખીયા ઉં.વ.44 એ તેના કૌટુંબિક કાકાના દીકરા રૈયાઝ રસુલ જોખિયા, જાફર ઉંમર જોખિયા, યુસુફ નાથા જોખિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કાકા દાદા ના ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેતીની જમીન મુદ્દે ડખો ચાલતો હોય આ બાબતને લઈને રાજુલા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તાજેતરમાં ગત તા.1-10-2025 ના રોજ ફરિયાદી મહેબૂબ તથા તેનો ભાઈ ફિરોજ કોર્ટની મુદતે ગયા હતા અને ત્યાંથી મુદત પતાવી બાઈક લઈને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રાજુલા એસડીએમ કચેરી સામે પાછળથી કારમાં આવેલ ત્રણેય આરોપીઓએ કાર ફરિયાદીના બાઈક પર ચડાવી દઈ ફરિયાદી યુવાન તથા તેના ભાઈ પર પાઇપ વડે હુમલો કર્યો હતો અને આ મારામારીમાં મહેબૂબ તથા તેના ભાઈ ફિરોજને ગંભીર ઈજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્ત ભાઈઓને પ્રથમ સારવાર અર્થે રાજુલા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ ફરિયાદી મહેબૂબ હકીમ જોખિયા ઉં.વ.44 નું સારવાર દરમિયાન મોત થયું હતું અને આ ઘટના હત્યામાં પરિણમી છે સમગ્ર બનાવને લઈને રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે.
બોટાદ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સુમીતકુમાર રૂપાભાઈ પરમારે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી રાજીનામું આપ્યું છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પક્ષના સભ્યપદેથી રાજીનામું સુપરત કર્યું હતું. પરમાર સરવા તાલુકા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય પણ છે. તેમના રાજીનામા પત્રમાં, પરમારે બોટાદના કડદા કાંડ મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે અનેક નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલ્યા છે. સુમીત કુમાર રૂપાભાઈ પરમારે સ્પષ્ટ કર્યું કે તેમણે ખેડૂતોને ન્યાય અપાવવા માટે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
સનાતન ધર્મમાં દિવાળી એટલે પ્રકાશનો પવિત્ર તહેવાર દીપોત્સવ. જ્યારે આ દીપ ગૌછાણથી બનેલા હોય ત્યારે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલા ઉમ્મીદ સેન્ટર (સોનેશ્વર પાર્ક) ખાતે છેલ્લા 15 દિવસથી મહિલાઓ ગૌછાણમાંથી દીવા બનાવવાની અનોખી કામગીરી કરી રહી છે. આ દીવા હવે કાશી નગરી સુધી પહોંચશે જ્યાં ગંગાજીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રજ્વલિત કરવામાં આવશે. મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની તક મળીવડોદરાની સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને નરનારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સશક્ત સ્ત્રી, સમૃદ્ધ સમાજના સૂત્ર સાથે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સંસ્થાના મંજુબેન પટેલ અને અક્ષીતાબા સોલંકીની આગેવાની હેઠળ આશરે 60 મહિલાઓ ડભોઇના સ્લમ વિસ્તારોમાંથી જોડાઈ છે, જે દરરોજ 300થી 400 દીવા તૈયાર કરે છે. દરેક દીવા બદલ તેમને એક રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના કારણે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે. દરેક કિલો છાણ માટે ફક્ત 20 ગ્રામ મૈદા સ્ટિકનો ઉપયોગ મંજુબેન પટેલ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટેનું છાણ દેશી ગાયોની ગૌશાળાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. તેને પલ્વરાઇઝર મશીન દ્વારા બારીક પાવડરમાં રૂપાંતરિત કરીને, ઓર્ગેનિક ‘મૈદા સ્ટિક’ સાથે મિશ્રિત કરવામાં આવે છે. દરેક કિલો છાણ માટે ફક્ત 20 ગ્રામ મૈદા સ્ટિકનો ઉપયોગ થાય છે. આ દીવાની વિશેષતા એ છે કે, સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર અથવા જંતુનાશક તરીકે વાપરી શકાય છે. એટલે કે પર્યાવરણને અડચણ ન પહોંચે તેવો શુદ્ધ અને સ્વદેશી ઉપક્રમ. ડભોઇની મહિલાઓ માટે રોજગારનું દ્વાર ખુલ્યુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી વસ્તુઓ”ના સંદેશને સાકાર કરતી આ પહેલ દ્વારા ડભોઇની મહિલાઓ માટે રોજગારનું દ્વાર ખુલ્યું છે. સાથે સાથે ગૌમાતાનું મહત્વ અને સ્વચ્છતા-પર્યાવરણનું સંરક્ષણ બંને હેતુઓનું સંકલન થયેલું આ દીપોત્સવના તહેવારનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
વલસાડમાં ધોધમાર વરસાદ અને મીની વાવાઝોડું:વાંકલ, ઓજર સહિતના ગામોમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે. આ વરસાદને હવે કમોસમી વરસાદ પણ કહી શકાય. કારણ કે, રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. વલસાડ અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. વલસાડ તાલુકાના વાંકલ, ઓજર, નવેરા અને આસપાસના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. વરસાદ સાથેના ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ધરાશાયી થયેલા વૃક્ષો વીજળીના તાર પર પડતા વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. ઘટના બાદ સ્થાનિકોએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક આવેલા વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે ત્યારે ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 4824 ઇમરજન્સી નોંધાય છે. દિવાળી તહેવારો દરમિયાન છેલ્લા બે વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ અને પૂર્વાનુમાન મુજબ 20 ઓક્ટોબર દિવાળીના રોજ 5199 જેટલા ઇમરજન્સી કેસો નોંધાઈ શકે છે. 22 ઓક્ટોબર નવા વર્ષના દિવસે 5704 ઇમરજન્સી કેસ થઈ શકે છે અને 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે 5408 ઇમરજન્સી કેસો થવાની શક્યતા છે. તહેવારના દિવસોમાં વધારાની એમ્બ્યુલન્સો પણ કાર્યરત રહેશેસામાન્ય દિવસો કરતા ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે, જેના પગલે 108 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. ચાલુ વર્ષે 108 એમ્બ્યુલન્સ પ્રાંત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વધારાની એમ્બ્યુલન્સો પણ કાર્યરત રહેશે. જે એમ્બ્યુલન્સ લોકેશન બેઝ હોવાથી કોઈને સરનામું પૂછવાની જગ્યાએ જે કોલર દ્વારા જાણ કરવામાં આવી હોય તે લોકેશન ઉપર જ સીધી એમ્બ્યુલન્સ પહોંચી જશે. સામાન્ય દિવસો કરતા તહેવારમાં કેસો વધુ સામે આવે છે108 ઈમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં એક અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે લોકો બહાર ફરવા અને ખરીદી માટે નીકળશે ત્યારે ટ્રાફિક વધુ થશે. આગ અકસ્માતની સંભાવનાઓને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા સાયન્ટિફિક ધોરણે જે અનુમાન લગાવવામાં આવે છે, તે મુજબ સામાન્ય દિવસો કરતા તહેવારમાં કેસો વધુ સામે આવે છે જેમાં દિવાળીના દિવસે 7.77 ટકા, નવા વર્ષના દિવસે 18.24 ટકા અને ભાઈ બીજના દિવસે 12.11 ટકાનો વધારો થવાની શક્યતા છે. 108 ઈમરજન્સી સેવા સંપૂર્ણપણે આ માટે તૈયાર છે. 108 ઇએમએસની કુલ 915 એમ્બ્યુલન્સની ફ્લીટ વધીને 1459 જેટલી થઈખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન દાઝી જવાના, રોડ અકસ્માત, શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં દુખાવાથી લઈ અને ખાવા પીવાની તકલીફના કેસો વધારે મળતાં હોય છે. રાજ્યના દરેક શહેરોમાં દરેક લોકેશન ઉપર 247 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોની 542 એમ્બ્યુલન્સનું 108 સેવા સાથે જોડવામાં આવી છે. 94 નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ બાદ હવે 108 ઇએમએસની કુલ 915 એમ્બ્યુલન્સની ફ્લીટ વધીને 1459 જેટલી થઈ છે. આ એમ્બ્યુલન્સોમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં લોકેશન બે સિસ્ટમ રાખવામાં આવી છે હાલમાં જે કોલર દ્વારા ફોન કરવામાં આવે તેને સરનામું પૂછી અને જગ્યા પર પહોંચે છે પરંતુ, હવે જે કોલર દ્વારા ફોન કરવામાં આવે તેના લોકેશન પરથી સીધી એમ્બ્યુલન્સને જાણ થાય છે અને લોકેશન પર જ એમ્બ્યુલન્સ પહોંચી જશે. આ એમ્બ્યુલન્સોમાં તમામ પ્રકારની તબીબી સારવાર માટેની તાલીમ આપનારા સ્ટાફને મૂકવામાં આવ્યો છે. આ વિસ્તરણના કારણે સેવાની ગુણવત્તા, પહોંચ અને રિસ્પોન્સ ટાઈમ વધુ સુદ્રઢ, સચોટ અને સુચારું બનેલ છે, અને રાજ્યભરમાં નાગરિકોને ઝડપી તબીબી સહાય મળી શકે છે. હવે 112 નંબર પણ જાહેર કરવામાં આવે છે જેમાં એમ્બ્યુલન્સ પોલીસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમામ ઇમર્જન્સી એક જ છત હેઠળ છે. જેથી, લોકો દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ ઈમરજન્સીમાં 112 નંબર અને 108 નંબર પર ફોન કરી શકે છે. મુખ્ય ઇમર્જન્સી ક્યાં અને કેટલી?
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અબરાર શેખે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સભામાં ભારે હંગામો થયો હતો. સભામાં મહિલા કોર્પોરેટરો પણ હાજર હતી. અબરાર શેખે વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શાવતા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સામે એજન્ડાની નકલો ફાડી નાખી હતી. તેમની રજૂઆત દરમિયાન અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે સભામાં તણાવ વધ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં કોર્પોરેટર અબરાર શેખે આ આરોપોનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, હું આવું કંઇ બોલ્યો જ નથી. આ ઘટના અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસના કામો અને કર્મચારીઓના પડતર પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, સભામાં અનેક મહિલા કોર્પોરેટરોની હાજરીમાં આવા શબ્દોનો પ્રયોગ નિંદનીય છે અને તે તેમના સંસ્કાર દર્શાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહીના પગલે થયેલી અરજી ઉપર આજે હાઇકોર્ટમાં સુનવણી યોજાઇ હતી. જેમાં AMCના વકીલે જણાવ્યું હતું કે, ભદ્ર વિસ્તારમાં ગાર્ડન, મંદિર, પાર્કિંગ, ત્રણ દરવાજા વગેરે આવેલા છે. ફેરિયાઓને અપાતું નવું સ્થળ મૂળ માર્કેટથી 100 મીટરમાં આવેલું છે. અહીં બે પ્લોટ છે, જેમાં એક પાર્કિંગ માટે વપરાય છે અને બીજો ખાલી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, પ્લોટ વિશે કોઈ સ્પષ્ટતા નથી. કોને જગ્યા આપવી તે અરજદાર સેવા સંસ્થા નક્કી કરશેઅરજદારે જણાવ્યું હતું કે, વિખ્યાત બાલકૃષ્ણ દોશીએ ભદ્ર પરિસર ડિઝાઇન કર્યું હતું. જેમાં 16 ફુટની ફૂટપાથ ફેરિયાઓને ધ્યાને રાખીને ડિઝાઇન કરાઈ હતી. જૂના સ્કેચમાં ફેરિયાઓ માટે જગ્યા આપેલી છે. કોર્ટે કહ્યું હતું કે, AMC એક સીમા નક્કી કરે ફેરિયાઓ તેની અંદર રહેશે, કોને જગ્યા આપવી તે અરજદાર સેવા સંસ્થા નક્કી કરશે. જે રજિસ્ટર્ડ અને ઓળખાયેલા ફેરિયાઓ છે, તેમને જગ્યા આપો. AMCએ 9 વર્ષ પહેલા પ્રસ્તાવ અમલમાં ના મૂકતા સમસ્યા સર્જાઈAMCએ કહ્યું હતું કે, વર્ષ 2016 અને અત્યારની પરિસ્થિતિ જુદી છે, જેથી ફ્રેશ સર્વે કરવો જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, ફેરિયાઓ બાહેંધરી આપે કે તેઓ પોતાને અપાયેલા સ્થળથી બહાર નહીં વધે, નહીંતર અરજી કરનારા સામે ફોજદારી પગલા લેવાશે. AMCએ પોતાનો પ્રસ્તાવ 9 વર્ષ પહેલા અમલમાં ના મૂકતા આ સમસ્યા સર્જાઈ છે. મૂળ માર્કેટથી 100 મીટરના અંતર ઉપર બે પ્લોટAMCએ કહ્યું હતું કે, વર્ષ 2016ના આ પ્રસ્તાવનો અમલ કરતા અડધી ફૂટપાથ ફેરિયાઓના કબ્જામાં જતી રહેશે, તેનો અમલ શક્ય નથી. 4*4 ફૂટપાથ ઉપર સ્ટોલ આવતા ભીડ થશે, વાહનો ઊભા રહેશે, અત્યારે પણ ભદ્ર માર્કેટ વિસ્તારમાં વળાંકો બ્લોક થઈ ગયા છે. કોર્ટે કહ્યું હતું કે, ફેરિયાઓને તેમને ફાળવાયેલા જગ્યાએથી બહાર આવતા રોકવા બેરિકેડ મૂકી શકાય અથવા દોરડું બાંધી શકાય. જો કે ફૂટપાથની જગ્યા AMC ફેરિયાઓને આપવા તૈયાર ના હોવાથી AMCએ એફિડેવિટ કરી હતી કે ભદ્રના મૂળ માર્કેટથી 100 મીટરના અંતર ઉપર બે પ્લોટ આવેલા છે. જેમાં દિવાળી અને વચગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. ભદ્રથી 180 મીટર દૂર સેન્ટર્લ ગાર્ડનમાં જગ્યા અપાશેએક પ્લોટ ભદ્ર માર્કેટથી 70થી 100 મીટરના અંતરે ત્રિકોણ આકારનો છે. જેનો એરિયા 1190 સ્ક્વેર મીટર છે. જ્યારે બીજો પ્લોટ પણ ભદ્ર માર્કેટથી 100 મીટર દૂર આવેલો છે, જેનો એરિયા 322 સ્કેવર મીટર છે. અહીં પહેલા અરજદાર એવા સેલ્ફ એમ્પ્લોઈડ લેબર ઓર્ગેનાઈઝેશન અને સેલ્ફ એમ્પ્લોયડ વર્કર એસોસિએશનના રજીસ્ટર્ડ ફેરિયાઓને સમાવવામાં આવશે. ફેરિયાઓ વધે તો બાકીના ફેરિયાઓને ભદ્રથી 180 મીટર દૂર સેન્ટર્લ ગાર્ડનમાં જગ્યા આપવામાં આવશે. પબ્લિક સ્ટ્રીટ પર કોઇને દબાણ કરવાનો અધિકાર નહીંગઈકાલની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, કોર્ટ બહોળો મુદ્દો જોઇ રહી છે અને હંગામી સમાધાન નહીં પરંતુ કાયમી સમાધાન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે જ કોર્ટનો સ્પષ્ટ મત છે કે પબ્લિક સ્ટ્રીટ પર કોઇને પણ દબાણ કરવાનો અધિકાર નથી. જો સ્ટ્રીટને મોટું પણ કરી દેવાય તો પણ એના પર બેસીને દબાણ કરવાનો કોઇને હક નથી. રોજેરોજ તમે દબાણકર્તાના સાધનો ફેંકી શકો નહીં. તેઓ પાછા આવી જશે. તમે તેમને રોજેરોજ હટાવી શકો નહીં, મારી શકો નહીં. હજારો લોકોને જેલ તો મોકલી શકાય નહીં. આ મામલે કાયમી સમાધાન સિવાય કંઇ જ ચાલી શકે નહીં. આ કેસમાં દિવાળીના તહેવારની લીધે ફેરિયાઓને નુકસાનની રજૂઆત મુદ્દે રસ્તો કાઢવા માટે આજે સુનવણી રાખવામાં આવી હતી. ફેરિયાઓના દબાણને લઈ ટ્રાફિકની ભયંકર સમસ્યાઆ અરજીમાં સ્વૈચ્છિક સંસ્થા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ભદ્રના વિસ્તારમાં વર્ષોથી ફેરિયાઓ ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કોર્પોરેશન તેમને ટ્રાફિક સહિતના ઇસ્યૂના લીધે અન્ય સ્થળે ખસેડવા માગે છે, પરંતુ હાલ દિવાળીનો સૌથી મોટો તહેવાર હોવાથી તેમને હટાવવામાં ન આવે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દલીલ કરાઇ કરી હતી કે, ભદ્ર ખાતે માતા ભદ્રકાળીનું અમદાવાદનું ઐતિહાસિક મંદિર આવેલું છે અને આ વિસ્તારના મુખ્ત રસ્તાઓ પર ફેરિયાઓએ દબાણ કર્યું હોવાથી ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાય છે. અહીં દિવાળીમાં દરરોજ લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે. ફૂટપાથ લોકોને ચાલવા અને રોડ વાહનો માટેહાઇકોર્ટે ટકોર કરી હતી કે, ફૂટપાથ લોકોને ચાલવા માટે છે અને રોડ વાહનો માટે છે. ત્યારે આવા વિસ્તારમાં જો ફેરિયાઓના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ઇમરજન્સીની પરિસ્થિતમાં એમ્બ્યુલન્સ કે ફાયર વિભાગ ન પહોંચી શકે તો ભારે મુસીબત સર્જાઇ શકે છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, આ પ્રકારની પરિસ્થિતિમાં કોર્ટ માત્રને માત્ર ઉપાય શું હોઇ શકે એ જ વિચારતી હોય છે. સમસ્યાનું સમાધાન મીડિએટરના માધ્યમથી થવું જોઇએજો વર્તમાન જેવી ભયંકર ટ્રાફિક અને દબાણની પરિસ્થિતિ હોય તો કોર્ટ કંઇ પણ કરી શકે નહીં. આવી પરિસ્થિતિ સતત ચલાવી શકાય નહીં. જે ફેરિયાઓ જોડે કાયદેસરના ટોકન હોય એમને જ ત્યાં રહેવા દેવા જોઇએ. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, આવી સમસ્યાનું સમાધાન મીડિએટરના માધ્યમથી થવું જોઇએ. કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારમાં ફાઉન્ટેન અને પબ્લિક ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યું છે. આ મામલે કોઇ ચોક્કસ લોકોની સમિતિ હોવી જોઇએ અને તેમણે કોર્ટને નિષ્પક્ષ બાબતો જણાવવી જોઇએ.
પાટણ APMCમાં 17થી 29 ઓક્ટોબર દિવાળી વેકેશન:30 ઓક્ટોબરથી મગફળીની હરાજી સાથે કામકાજ શરૂ થશે
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની હરાજી બંધ રહેશે. 30 ઓક્ટોબરથી APMCમાં કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. દિવાળીના વેકેશન બાદ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવશે. APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પોતાની મગફળીના વેચાણ માટે પાટણ APMCમાં લાવવા અપીલ કરી છે. તેમણે સૌ ખેડૂતોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ચેરમેન સ્નેહલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટણ APMC દ્વારા ખેડૂતોને ખરું તોલ, સાચો મોલ અને રોકડ નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. આથી, તેમણે પાટણ પંથકના ખેડૂતોને પોતાની જણસોનું વેચાણ કરવા માટે પાટણ APMCમાં આવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
જામનગરના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફાયરિંગ અને જીવલેણ હુમલાના અત્યંત ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હસમુખ પેઢડિયા અને યોગેશ અકબરીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસની વિગત મુજબ, 19 જૂન, 2018ના રોજ રાત્રિના સમયે જામનગરના લાલપુર બાયપાસ રોડ પર આવેલા કીર્તિ પેટ્રોલપંપ પાસે આ ઘટના બની હતી. પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર ફોર-વ્હીલ ગાડીમાં આવેલા હસમુખ પેઢડિયા ઉર્ફે પટેલ અને તેના સાગરિક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ મામલે અતુલ ભંડેરી દ્વારા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટની કલમ 25(જી)(એ) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી. એમ. બુચ અને કોમલબેન ભટ્ટની ધારદાર દલીલો અને તપાસને ધ્યાનમાં રાખીને, જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એન. આર. જોશીએ હસમુખભાઈ પેઢડિયા અને યોગેશભાઈ અકબરીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સહાયક તરીકે અવની દેલવાડિયા અને ફેઝલ ચીર્યા રોકાયેલા હતા.
રહીશોએ બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો:મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા બિલ્ડર સામે છેતરપિંડીના આક્ષેપ સાથે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશોના જણાવ્યા અનુસાર,સોસાયટીનું બાંધકામ લગભગ 12 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.મકાન વેચાણ સમયે બિલ્ડર હિતેશ સુતરિયાએ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી,પરંતુ આજદિન સુધી આપેલા વાયદા પુરા કરવામાં આવ્યા નથી.બિલ્ડર હિતેશ સુતરિયા સોસાયટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે,તેઓ જાળવણી ફી નિયમિત રીતે ચૂકવતા હોવા છતાં સોસાયટીમાં મેઇન્ટેનન્સનું કામ થતું નથી.સોસાયટીમાં ફાયર સેફટી સિસ્ટમ,CCTV કેમેરા સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.સાથે જ મેઇન્ટેનન્સના રૂપિયા બિલ્ડર પોતાના અંગત ખાતામાં જમા કરી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું હતું. જેથી આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા ની સાથે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં નિવૃત્તિ સમારંભ:ત્રણ કર્મચારીઓને ભાવભીની વિદાય અપાઈ
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ત્રણ કર્મચારીઓના નિવૃત્તિ પ્રસંગે શુભેચ્છા સમારંભ યોજાયો હતો. શાળાના સફાઈ કામદાર લીલાબહેન ગિરધરભાઈ પરમાર, મદદનીશ શિક્ષક પ્રેરકભાઈ લલ્લુભાઈ પટેલ અને પ્રવીણકુમાર ઈશ્વરભાઈ ભાટેસરાને આ પ્રસંગે ભાવભીની વિદાય આપવામાં આવી. શાળાના પ્રાર્થનાખંડમાં આયોજિત કાર્યક્રમનો આરંભ પ્રાર્થના ગીતથી થયો હતો. ત્યારબાદ શાળાના શિક્ષકોએ નિવૃત્ત થતા કર્મચારીઓ વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. આચાર્ય બિપીનચંદ્ર પંચાલે કર્મચારીઓના શાળામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી. ટ્રસ્ટી કૌશલભાઈ ઠાકોર અને કેમ્પસ કો-ઓર્ડીનેટર પાયલબહેન ઠાકોરે પણ શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા. લીલાબહેન પરમારે વર્ષો સુધી શાળાની સફાઈ વ્યવસ્થા જાળવી હતી, જ્યારે પ્રેરકભાઈ પટેલ અને પ્રવીણકુમાર ભાટેસરાએ શિક્ષક તરીકે બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શાળાના શિક્ષકમિત્રોએ નિવૃત્ત થનારા કર્મચારીઓને સ્મૃતિચિહ્ન, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા. આચાર્યએ પોતાના આશીર્વચન આપતાં જણાવ્યું કે, “નિવૃત્તિ અંત નથી, પરંતુ એક નવા જીવનપ્રવાસની શરૂઆત છે. આપના યોગદાનથી શાળા ગૌરવ અનુભવે છે અને આપનું સ્મરણ હંમેશાં જીવંત રહેશે.” કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થનાર કર્મચારીઓએ પોતાના સ્મરણો વહેંચ્યા અને શાળામાં મળેલા પ્રેમ તથા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. શિક્ષિકા સોનલબહેન મેકવાને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે કો-ઓર્ડીનેટર્સ અને સમગ્ર શિક્ષકવર્ગે આયોજનમાં સહકાર આપ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં જમીન વિવાદને કારણે થયેલા હુમલામાં ઘાયલ થયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ પોલીસે મારામારીના કેસને હત્યામાં પરિવર્તિત કર્યો છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 ઓક્ટોબર, 2025ના રોજ રાજુલા બાયપાસ રોડ પાસે આવેલી જમીનના વિવાદને લઈને મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયા પર હુમલો થયો હતો. મહેબૂબભાઈએ રાજુલા કોર્ટમાં દીવાની દાવો નં. 174/2024 દાખલ કર્યો હતો. આ કેસ પાછો ખેંચી લેવા અને તેમની 44 વીઘા જમીન પચાવી પાડવાના ઈરાદે ત્રણ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓ કાર લઈને આવ્યા હતા અને મહેબૂબભાઈને મારી નાખવાના ઈરાદે તેમના પર કાર ચડાવી દીધી હતી. તેમને નીચે પાડી દીધા બાદ આરોપીઓએ ગાડીમાંથી ઉતરી લોખંડના પાઈપ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર હુમલા બાદ રાજુલા પોલીસે રૈયાજ રસુલભાઈ જોખિયા, જાફરભાઈ ઉમરભાઈ જોખિયા અને યુસુફભાઈ નાથાભાઈ જીરુકા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જોકે, ફરિયાદી મહેબૂબભાઈ જોખિયાનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થતાં, આ મામલો હવે હત્યામાં પલટાઈ ગયો છે. પોલીસ હવે આ મામલે હત્યાનો ગુનો ઉમેરીને વધુ તપાસ હાથ ધરશે. મૃતદેહ આજે મોડી સાંજે તેમના વતન રાજુલા પહોંચશે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ડો. અબ્દુલ કલામની 94મી જન્મજયંતી:એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં કાર્યક્રમ યોજાયો
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામની 94મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડો. કલામના જીવન અને કાર્યોથી પરિચિત કરાવવાનો હતો. તેમની જીવનશૈલી અને કાર્યપ્રણાલીમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય તે માટે આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. સંજય વકીલે જણાવ્યું હતું કે, ડો. કલામનું જીવન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. એક ગરીબ કુટુંબમાં જન્મ લઈને સખત મહેનત દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે. ભારતમાં મિસાઈલ અને ન્યુક્લિયર હથિયારોના વિકાસમાં ડો. કલામનો સિંહફાળો હતો. તેઓ સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે જાણીતા બન્યા હતા. ઋષિતુલ્ય જીવન જીવનાર ડો. કલામે વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેમની કાર્યનિષ્ઠા અને દેશ માટેનું સમર્પણ હંમેશા પથદર્શક રહ્યા છે. ધર્મ, સમાજ અને રાજકારણથી ઉપર ઉઠીને તેમણે રાષ્ટ્રવિકાસમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ડાંગના હારપાડા નજીક પીકઅપ પલટી:15 મજૂરો ઈજાગ્રસ્ત, આહવા સિવિલમાં સારવાર ચાલુ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હારપાડા ગામ નજીક આજે એક માર્ગ અકસ્માતમાં 15 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના જુનેરગામ તરફ મજૂરી કરવા જઈ રહેલી પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાહનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરાઈ હતી. બચાવ દળો અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત 15 મજૂરોને આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપી કેટલાકને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે, જ્યારે ગંભીર ઈજા ધરાવતા મજૂરોની વિશેષ સારવાર ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ, હારપાડા નજીક વાન અચાનક ખાડામાં ઉતરી જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. વાનમાં સવાર તમામ લોકો ડાંગ જિલ્લાના વિવિધ ગામોના રહેવાસી છે, જેઓ રોજગાર માટે જુનેરગામ તરફ મજૂરી કરવા જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે સુબીર પોલીસ મથકના કર્મચારીઓ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, વાહનનું વધુ વજન અને માર્ગ પરના અચાનક વળાંકને કારણે પણ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આહવા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના પરિવારજનો અને ગામલોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઘટનાએ ડાંગ જિલ્લામાં માર્ગ સુરક્ષા અંગેની ચિંતાઓને ફરી ઉજાગર કરી છે. સ્થાનિકોએ પ્રશાસનને આ માર્ગ પર સુરક્ષા ઉપાયો વધારવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.