પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ની વિદ્યાર્થિની ભગોરા ભાર્ગવીએ જયપુર ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં આર્ચરી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભાર્ગવીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ યુનિવર્સિટીનું નામ રોશન થયું છે. યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રાર અને શારીરિક શિક્ષણ નિયામક દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ ભાર્ગવીની સફળતાને તેની અથાગ મહેનત, શિસ્તબદ્ધતા અને રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ધગશનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે તેના પ્રદર્શનની પ્રશંસા કરી અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણારૂપ બનશે તેમ યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું.
આજે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં લાલો મૂવીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આ ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથે ક્રિષ્ન ભગવાનનો રોલ ભજવનાર શ્રુહદ ગોસ્વામી સહિતની ટીમ કેદીઓ સાથે બેસી ફિલ્મ નિહાળી હતી. સાથે આ ફિલ્મ બતાવવામાં વડોદરાના યુવા સાંસદ ડૉ હેમાંગ જોશીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ફિલ્મ પૂર્ણ થતા જ જેલના કેદીઓ સ્ક્રીન આગળ ઝુમી ઉઠ્યા હતા. આ અંગે વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, વડોદરાના સાંસદ ડૉ હેમાંગ જોશીની મદદથી અને લાલો મૂવીની આખી ટીમની મદદથી લાલો મૂવી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે. આ ફિલ્મની એક થીમ છે કે માણસ સારા અને ખોટા બંને રસ્તે જઈ શકે છે. આ ફિલ્મમાં પરિવાર પ્રત્યેની જવાબદારી અને મિત્ર સાથેની સોબતથી ખોટા રસ્તે ચડે છે અને ક્રિમીનલ કામ સુધી પહોંચી જાય છે તે તમામ બાબતો બતાવવામાં આવે છે. વધુમાં કહ્યું કે, જિંદગીમાં સંઘર્ષ સમયે આડે રસ્તે જાય છે તે બાબતે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાંથી ક્રિષ્ન ભગવાનના પાત્રથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ અંગે જેલમાં રહેલા કેદીભાઈઓને પણ થોડું ખ્યાલ આવે કે જીવન આવી રીતે જીવી શકાય છે અને આવા સમયે ભટકતા જીવનને અટકાવી શકાય છે. તેઓના જીવનમાં પરિવર્તન આવે તેવા હેતુથી આ ફિલ્મ બતાવવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં આ ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર અને ક્રિષ્ન કેરેક્ટર કરનાર સાથે આખી 25થી ત્રીસ લોકોની ટીમ અહીંયા આવી હતી. આ ફિલ્મ 1800જેટલા કેદીઓને બતાવવામાં આવ્યું છે.
ગાંધીનગર પેથાપુરના એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ગાંધીનગર અમદાવાદ વિસ્તારના 14 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક મહિલા જુગારી પણ પકડાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી સાડા ત્રણ લાખથી વધુની રોકડ, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.3,93,810 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. પેથાપુરના નિશાળ ફળિયામાં દરોડોગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારની ફૂલીફાલેલી બદી ઉપર અંકુશ મેળવવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલી સુચનાના પગલે તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓએ ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કવાયત શરુ કરી દીધી છે. જે અન્વયે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરિમયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામ નિશાળ ફળિયુ જૈન દેરાસરની બાજુમા રહેતો પ્રતીક સુરેશભાઈ ચૌહાણ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સઘળી વ્યવસ્થા કરી મોટાપાયે જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જે હકીકતના અલગ અલગ ટીમો બનાવીને બાતમી વાળા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઉપરના માળે પ્રથમ રૂમમાં ચારેક ઈસમો તેમજ અન્ય એક રૂમમાં ડબલ બેડ પલંગ તથા સોફા ઉપર મહિલા સહિત 16 જુગારીઓ જુગારની બાઝી માંડીને બેઠાં હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે એક ઇસમની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ પ્રતીક સુરેશભાઇ ચૌહાણ હોવાનું કહી મકાન તેની માલિકીનું હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા જુગારીઓના નામચંન્દ્રકાંત મણીલાલ પટેલ(રહે-અંબાજી માતાનોવાસ,સાણોદા,દહેગામ)હરદીપસિંહ ભરતસિંહ પરમાર(રહે-6, દુવાર્ણી સોસાયટી,વેજલપુર)કેતન શાંતિલાલ સુથાર(રહે-મકાન નંબર-3, આનંદ એપાટૅમેન્ટ, શ્રૃતીમંદિર સામે, ભવાની સોડાનીબાજુમાં,ઘોડાસર)ગૌરાંગ વિષ્ણુભાદ શાહ(રહે-નરોડા ગેલેક્ષી સામે, રાજદીપ સોસાયટી, મકાન નં-4, નરોડા)ચંન્દ્રેશભાઇ બુધાભાઈ પટેલ (રહે-એન/102,ક્રિશ એવન્યુ એપામેન્ટ, વસ્ત્રાલ)અમૃતભાઇ રૂપાભાઈ પ્રજાપતિ( રહે-હડાદ ગામ,પ્રજાપતિ વાસ,તા-દાતાર)વનરાજસિંહ દશરથસિંહ વાઘેલા(રહે-વીસ ઘર વાસ,કોલવડા)શૈલેષકુમાર નવનીતભાઈ પટેલ(રહે-અંગાળી ગામ,પટેલ ફળીયુ,તા-ગલતેશ્વર,જી-ખેડા)મુકેશભાઇ સુરાભાઇ રાતડીયા(રહે-એક વિધ્યા મંદિર બાજુમાં,આંબાતળાવ,બાવળા)નિકુંજ ગોવિંદભાઇ પટેલ( રહે-સી-304,જલદીય આઇકોન,મકરબા,વેજલપુર)રઇજીભાઇ કાંતીભાઇ ઠાકોર(રહે ઝાંક ગામ)નિતેશ મોહનલાલ આહુજા(રહે-83 ભીલ વાસ,સરદારનગર,અમદાવાદ)ગોપાલ ઝીણાભાઇ ગરીયા (રહે-4/32,ચંન્દ્રભાગા હાઉસીંગ બોડૅ,નવા વાડજ)અમૃતભાઇ ગણેશભાઈ પ્રજાપતિ(રહે- હડાદ ગામ,પ્રજાપતિ વાસ,પાંણીની ટાંકી પાસે,તા-હડાદ,જી-બનાસકાંઠા)પેથાપુરમાં રહેતી એક મહિલા પોલીસે ઘટનાસ્તળેથી 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતાં કુલ રૂ.3,30,810 રોકડા અને 8 મોબાઈલ ફોન મળી આવ્યા હતી. જેના પરથી જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે અહીં મોટાપાયે જુગારનો અખાડો ચાલતો હતો. આ અંગે પોલીસે દાવો કર્યો છેકે પ્રતીક ચૌહાણે બે દિવસથી જ જુગારનો અખાડો શરૂ કર્યો હતો. જે કોઈ કામધંધો કરતો નહીં હોવાથી આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવી રહ્યો હતો. જોકે જે રીતે કુલ રૂ.3.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એ જોતા પ્રતીક ચૌહાણ કોઈના મજબૂત પીઠબળ હેઠળ આયોજનપૂર્વક જુગારનો અખાડો ચલાવતો હોવો જોઈએ.
મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી છે. ભાજપના જિલ્લા પંચાયત પચોટ સીટના ડેલીગેટ મુકેશ પટેલના ખેતરમાં આવેલી ઓરડી તેમજ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા કુલ 2.65 લાખના મત્તાની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ આ ચોરી બાબતે યોગ્ય તપાસ માટે ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી છે. પીપળીયા નામથી ઓળખાતા ખેતરની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યાશિયાળાની શરૂઆત થતા જ મહેસાણા જિલ્લા તસ્કરો સક્રિય બન્યા છે. મહેસાણા તાલુકામાં આવેલા વીરતા ગામ નજીક આવેલ પીપળીયા નામથી ઓળખાતા ખેતરની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ ખેતરમાં આવેલા મંદિરોને પણ નિશાન બનાવ્યા હતા. જ્યાં તસ્કરો ઓરડીમાંથી જરૂરી સમાન તેમજ મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણો ચોરી રફુચક્કર થઈ ગયા હતા. ઓરડીમાં રહેલી તિજોરીમાં સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યોફરિયાદી મુકેશ પટેલ 25 નવેમ્બરના રોજ ખેતરમાં આવેલા મંદિરમાં પૂજા પાઠ કરવા ગયા એ દરમિયાન તેઓને આ ચોરી અંગેની જાણ થઈ હતી. ત્યારબાદ ખેતરમાં આવેલી ઓરડીમાં તપાસ કરવામાં આવતા ઓરડીમાં રહેલી તિજોરીમાં બધો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. કેટલોક સમાન તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચોરી અંગે જિલ્લા પંચાયત પચોટ સીટના સદસ્ય મુકેશ પટેલે યોગ્ય તપાસ થાય અને મુદ્દામાલ પરત આવે એ માટે જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત પણ કરી હતી. આ સામાન ચોરાયો મંદિરમાં થયેલી ચોરીની વિગતો તેમજ મોનિકભાઈ પટેલ ની કે.વી.એસ સિમેન્ટ પ્રોડક્ટ વીરતામાંથી લોડીંગ હાઇડ્રોલિક હાથલારીના 3 ટાયરો કિંમત 18 હજાર રૂપિયા કાઢી ચોરો રફુચક્કર થઈ ગયા હતા. આમ તસ્કરોએ કુલ 2 લાખ 65 હજાર 100ના મત્તાની ચોરી કરી હતી.
આશ્રમ રૉડ પર આવેલી નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજ ખાતે 27-11-2025ના રોજ બ્રહ્માકુમારીસ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં BK મનીષાદીદી અને BK નિર્જરીદીદીએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને ધ્યાનનો જીવંત અને ગાઢ અનુભવ કરાવ્યો. ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ’ પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ આજના તણાવગ્રસ્ત અને અશાંત વિશ્વમાં 'શાંતિનું મહત્વ સમયની સૌથી મોટી જરૂરિયાત છે' એવો મર્મસ્પર્શી સંદેશ આપ્યો. તેઓ એ સમજાવ્યું કે બહારની પરિસ્થિતિઓમાંથી શાંતિ શોધવાને બદલે, મનની અંદરની શક્તિઓને જાગ્રત કરવામાં જ સચી શાંતિનો સ્ત્રોત છે. કાર્યક્રમ દરમિયાન કરાવવામાં આવેલા ''માર્ગદર્શિત રાજયોગ ધ્યાન'' દ્વારા હાજર તમામે આંતરિક શાંતિ, સ્થિરતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માનસિક આરોગ્ય, કેન્દ્રિતતા અને સકારાત્મકતા માટે અત્યંત ઉપયોગી છે અને આ પ્રકારની શાંતિમય અનુભૂતિ તેમના માટે યાદગાર બની રહેશે. આ સમગ્ર કાર્યક્રમ ‘શાંતિ એ જ શક્તિ’નો જીવંત અનુભવ કરાવતો હતો ખરેખર, ''તણાવ અને કલહથી ભરેલા આ યુગમાં આ જ સમયની જરૂરિયાત છે.'' સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહ નાં માર્ગદર્શન હેઠળ યોજાયો.
ઝબેકિસ્તાનના સમરકંદમાં ગત રવિવારે યોજાયેલી કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરાની (CITES) મહત્વની બેઠકમાં ભારતને મોટી રાહત મળી છે. વન્યજીવોની આયાતને લઈને ભારત પર લગાવવામાં આવતા આરોપોને વિશ્વના મોટા ભાગના દેશોએ ફગાવી દીધા હતા. આ નિર્ણયથી જામનગરના વનતારા જેવી સંસ્થાની કાર્ય પદ્ધતિ માટે વૈશ્વિક સ્તરે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વનતારાને વૈશ્વિક સ્તરે માન્યતા મળીસમરકંદમાં યોજાયેલી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટા ભાગના દેશોએ સ્પષ્ટ કહ્યું કે પ્રાણીઓની આયાત બાબત ભારત સામે કોઈ કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા નથી. આ નિર્ણય ભારતના વલણ માટે મજબૂત ટેકો સમાન છે. સાથે જ વનતારાના કાયદેસર, પારદર્શક અને વિજ્ઞાન આધારિત વન્યજીવ સંભાળના મોડેલને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. CITESએ બે દિવસ વનતારાની મુલાકાત લીધી હતીCITES સચિવાલય જે યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે તેણે સપ્ટેમ્બર 2025માં વનતારાની બે દિવસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર, પશુચિકિત્સા વ્યવસ્થા, બચાવ કાર્ય અને વેલ્ફેર પ્રોટોકોલ્સની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીને રિપોર્ટ સોંપાયો હતોગત સપ્ટેમ્બર મહિનાની 30 તારીખે સ્ટેન્ડિંગ કમિટીને આપેલા અહેવાલમાં સચિવાલયે વનતારાને આધુનિક સુવિધા ધરાવતી અદ્યતન પશુચિકિત્સા સંભાળ આપતી અને વ્યવસ્થિત બચાવ અને પુનર્વસન પ્રણાલી ધરાવતી વિશ્વ સ્તરીય સંસ્થા ગણાવી હતી. અહેવાલે સાબિત કર્યું કે વનતારાનું કામ માત્ર પ્રાણીઓના કલ્યાણ પર કેન્દ્રિત છે અને કોઈપણ વેપારી પ્રવૃત્તિ નથી. વનતારાએ સંપૂર્ણ સહકાર આપ્યો આ ઉપરાંત CITESના નિયમો મુજબ વનતારાએ સંપૂર્ણ સહકાર આપ્યો હોવાનું પણ જણાવાયું હતું. બેઠક દરમિયાન મોટાભાગના દેશોએ ભારતના વલણને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. જેથી સ્પષ્ટ થયું કે વનતારાના કાર્ય પર ઊઠાવવામાં આવેલા સવાલો પાયાવિહોણા અને હકીકતથી દુર છે. આ નિર્ણય ભ્રામક માહિતી ફેલાવનારાઓને પણ સચોટ જવાબ છે અને વનતારાની સકારાત્મક કામગીરીને સત્તાવાર સ્વીકૃતિ આપે છે. વનતારા વિરુદ્ધના બધા આરોપ નિરાધારઆ બાબત ભારતના CITES અમલીકરણ પ્રણાલી માટે પણ મહત્વનો છે અને દર્શાવે છે કે વનતારાએ હંમેશાં નિયમોનું પાલન કર્યું છે. આ સાથે જ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત SITના તારણને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત માન્યતા મળી છે. SITએ પોતાના ઊંડા તપાસ બાદ સ્પષ્ટ કહ્યું હતું કે વનતારા વિરુદ્ધના બધા આરોપ નિરાધાર છે. તમામ પ્રાણીઓને કાયદેસર અને બિન વ્યાપારી હેતુથી માન્ય પરવાનગી સાથે લાવવામાં આવ્યા હતા. તેમાં કોઈ દાણચોરી કે નાણાકીય ગેરરીતિ નહોતી. SITએ એ પણ નોંધ્યું કે વનતારા માત્ર નિયમોનું પાલન કરતાં નથી પરંતુ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી પણ વધુ ઊંચા સ્તરે ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ દરજ્જો ધરાવે છે. એક પ્રાઇવેટ કલેક્શન તરીકે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સંરક્ષણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.
આણંદ BAPS મંદિરમાં ઠાકોરજીનો ઉત્તમોત્તમ મહાઅભિષેક કરાયો:રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિશેષ વિધિ સંપન્ન
આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરમાં 25મા પાટોત્સવ (રજત જયંતિ મહોત્સવ) નિમિત્તે ઠાકોરજીનો ઉત્તમોત્તમ મહાઅભિષેક વિધિ સંપન્ન થયો હતો. આ મહાઅભિષેક વિધિ BAPS સંસ્થાના પ્રકાંડ પંડિત અને ષડ્દર્શનાચાર્ય ડૉ. શ્રુતિપ્રકાશ દાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ વિધિ માટે ગતરોજ 12 વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 225 કળશોનું પૂજન કરાયું હતું. મુખ્ય કળશનું પૂજન મહંત સ્વામી મહારાજના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તમામ કળશો વડે મંગળવારે પ્રભાતે ઠાકોરજીનો મહાઅભિષેક વિધિ સંપન્ન થયો. મહાઅભિષેક વિધિ બાદ ઠાકોરજીની ષોડશોપચાર વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સદગુરુ સંતવર્યો ત્યાગવલ્લભ સ્વામી અને વિવેકસાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂજ્ય ભગવદ્ ચરણ સ્વામી, કોઠારી યજ્ઞસેતુ સ્વામી સહિત આણંદ અને અન્ય મંદિરોના સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મ જયંતિ મહોત્સવની મુખ્ય ઉજવણીની પૂર્વ સંધ્યાએ, માગશર સુદ આઠમ, 28 નવેમ્બરના રોજ અક્ષરફાર્મમાં BAPS સંસ્થાના સાળંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધના કરવામાં આવશે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી રાત્રે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં સુભાષ સુરેશ લાંડગે નામના એક યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે હુમલોપ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પગલે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું અનુમાનપોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે. મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે, જેના કારણે બોલાચાલી થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે. પોલીસે આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યાપાંડેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે, ત્યારે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે.
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2026નું યજમાનપદ મળ્યું છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ સફળતાને રાજ્યના નેતૃત્વ માટે ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના વર્ષોના પ્રયત્નોનું પરિણામ છે. અમદાવાદ અને ગુજરાતમાં વિકસાવવામાં આવેલ વિશ્વસ્તરીય રમતગમત માળખું ભારત માટે ગૌરવનો વિષય છે. આ અત્યાધુનિક સુવિધાઓને કારણે આવનારી પેઢી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, નેતાઓએ સાંસદ ખેલ મહોત્સવના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ રાષ્ટ્રીય સ્તરીય આયોજન સ્થાનિક સ્તરે છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડી રહ્યું છે. આ પ્લેટફોર્મ ગ્રામીણ અને શહેરી યુવા ખેલાડીઓને તેમની પ્રતિભાને નિખારવાની તક આપી રહ્યું છે.
પોરબંદરમાં યુવાનનો ખોવાયેલો બેગ મળ્યો:લેપટોપ, રોકડ સહિતનો સામાન નેત્રમ ટીમે પરત કર્યો
પોરબંદરમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટની ટીમે એક યુવાનનો ખોવાયેલો બેગ શોધીને પરત કર્યો છે. આ બેગમાં લેપટોપ, રોકડ, હાર્ડ ડિસ્ક, પેનડ્રાઇવ અને મહત્વના દસ્તાવેજો સહિતનો કિંમતી સામાન હતો. પોરબંદરના આર.જી.ટી. કોલેજ કમ્પાઉન્ડ, બિરલા રોડ-રાજમહેલ ખાતે રહેતા પાર્થ બટુકભાઈ રાઠોડનો બેગ કનકાઈ મંદિર પાસે ભૂલાઈ ગયો હતો. બેગમાં ₹30,000નું લેપટોપ, ₹2,000 રોકડા, ₹3,500ની હાર્ડ ડિસ્ક અને પેનડ્રાઇવ, તેમજ SIRનો ફોર્મ અને અન્ય જરૂરી દસ્તાવેજો હતા. પાર્થ રાઠોડે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. ટીમે અરજદારના રૂટ મુજબ કનકાઈ મંદિર અને ચોપાટી વિસ્તારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો ઈસમ મોટરસાયકલ પર બેગ લઈને જતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર GJ25 AC 9069 હોવાનું જાણવા મળ્યું હતું. આથી વાહનચાલક મહમદયાસીન મહમદ નોતરીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ ખાતે વાહનચાલકને બોલાવીને બેગની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી અરજદારના દસ્તાવેજો અને અન્ય સામાન મળી આવતા, બેગ સુરક્ષિત રીતે પાર્થ રાઠોડને પરત કરવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન ભરેલો બેગ પરત મળતા પાર્થ રાઠોડે નેત્રમ ટીમ અને મોટરસાયકલ ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિંમતનગરમાં મોપેડચાલકે બાળકીને અડફેટે લીધી:ઓવરસ્પીડ સીસીટીવીમાં કેદ, માથામાં ઈજા થતાં સારવાર અપાઈ
હિંમતનગરની એક સોસાયટીમાં ઓવર સ્પીડ મોપેડચાલકે એક બાળકીને અડફેટે લીધી હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી, જેમાં બાળકીને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને હાઈવે પર વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરીને બેફામ વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માતના બનાવો બને છે. આવી જ એક ઘટનામાં, હાઈવે જેવી ઝડપ સોસાયટીના રોડ પર જોવા મળી હતી. હિંમતનગરના ઇન્દ્રનગર સી વિભાગમાં આવેલી સોસાયટીના કોમન પ્લોટ પાસેના રોડ પર કેટલીક બાળકીઓ રમી રહી હતી. તે સમયે મુખ્ય રોડ પરથી સોસાયટીમાં પ્રવેશી રહેલા એક મોપેડચાલકે પોતાનું વાહન ઓવર સ્પીડમાં ચલાવ્યું હતું. રોડની બાજુમાં રમી રહેલી બાળકી અચાનક રોડ ક્રોસ કરવા જતાં ઓવર સ્પીડ મોપેડની અડફેટે આવી ગઈ હતી. ટક્કર વાગતાં બાળકી રોડ પર પટકાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે બાળકીને ઊભી કરીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજયમાં રાત્રિ અને વહેલી સવારમાં ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો નોંધાતા હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગતરોજ ન્યૂનતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે 2 ડિગ્રીના વધારા સાથે આજે 20.8 ડિગ્રી નોંધાયું છે. જ્યાં 11.6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર, જ્યારે 22 ડિગ્રી સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં 16, તો અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયુંરાજકોટ જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરા 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 22 અને સુરત ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવજ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલે કહી શકાય કે અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે સામાન્ય ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થશે. જાણો અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું?ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ, રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો, ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી, ભુજમાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, તો દ્વારકા અને ગાંધીનગરમાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન 18.6 અને 14.5 ડિગ્રી રહ્યું. તેજ રીતે કંડલામાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, નલિયામાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી, પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને વેરાવળમાં લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી રહ્યું.
11.6 ડ્રિગીમા નલિયા થથર્યું:સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ, ભુજમાં 15.6 ડિગ્રી તાપમાન
નલિયા 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યાં ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હાલમાં કચ્છમાં ખુશનુમા ઠંડીનો માહોલ છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે શીત લહેરની તીવ્રતા ઓછી છે. જોકે, વહેલી સવારે બહાર વિશેષ શીતળતાનો અનુભવ થાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે દેશના ઉત્તરીય પ્રદેશોમાં થયેલી હિમવર્ષાની અસર આગામી દિવસોમાં કચ્છમાં પણ વર્તાઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર સહિતના ઉત્તરીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. આ સંભાવના મુજબ, લગભગ ત્રણથી ચાર દિવસ બાદ સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. આના કારણે કચ્છવાસીઓ હવે કડકડતી ઠંડીનો અનુભવ કરશે. અત્યાર સુધી આરામથી કામ કરતા લોકો હવે ભારે ગરમ વસ્ત્રો પહેરતા અને તાપણીનો સહારો લેતા જોવા મળશે.
ભુજ ખાતે ડો. પ્રિયારાજ વિલિયમ્સના કચ્છી ભરતકામ પર આધારિત અંગ્રેજી ગ્રંથ ‘એક્વીઝીટ એમ્બ્રોડરી ઓફ કચ્છ’નું લોકાર્પણ કરવામાં આવ્યું. ડો. વિલિયમ્સ, જેઓ ગુજરાતી જાણતા ન હોવા છતાં કચ્છી અને સિંધી ભાષા પર સારી પકડ ધરાવે છે, તેમણે કચ્છના હસ્તકલાકારો સાથેના લાંબા સંપર્કને કારણે આ જ્ઞાન મેળવ્યું છે. કચ્છના પૂર્વ જિલ્લા પોલીસવડા રણજિતરાજ વિલિયમ્સના પત્ની ડો. પ્રિયારાજે 1985માં કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન કચ્છી ભરતકામ પર સંશોધન શરૂ કર્યું હતું. આ 300 પાનાનો ગ્રંથ તેમના સંશોધન અને મેળવેલી જાણકારીનો નિચોડ છે. ગ્રંથના લોકાર્પણ પ્રસંગે, ડો. પ્રિયારાજે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુસ્તકનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યું કે આ ગ્રંથ તેમના ચાલીસ વર્ષના સંશોધન કાર્યની પરાકાષ્ઠા છે. તેમણે ઉમેર્યું કે કચ્છી ભરતકામ સિંધુ સંસ્કૃતિથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. આ ગ્રંથમાં કચ્છમાં ભરતકામ કરતી ઓગણીસ જ્ઞાતિઓના 33 પ્રકારના ભરતકામને આવરી લેવામાં આવ્યા છે. તે આ સમાજોની સાંસ્કૃતિક પરંપરાઓ, જીવનશૈલી અને ઇતિહાસની કલાત્મક અભિવ્યક્તિને દર્શાવે છે. પ્રોવેસ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખી છે. ડો. પ્રિયારાજે જણાવ્યું કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ આ ગ્રંથને વિશેષ ગ્રંથ તરીકે માન્યતા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કચ્છનું અનોખું ભૌગોલિક સ્થાન, દરિયાઈ વેપાર માર્ગો, વિદેશી આક્રમણો, પ્રજાનું સ્થળાંતર અને કુદરતી આફતો જેવા કારણોસર કચ્છી હસ્તકળા લુપ્ત થવાના આરે છે, જેને સાચવવાની તાતી જરૂરિયાત છે. કાર્યક્રમની શરૂઆતમાં, કચ્છના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક અને લેખકના પતિ રણજિતરાજ વિલિયમ્સે સૌનું સ્વાગત કર્યું. તેમણે લેખકનો પરિચય આપ્યો અને કચ્છમાં તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળી જૂના સંબંધો તાજા કર્યા. અંતે, એમ.એસ. જથ્થમે આભારવિધિ કરી. આ પ્રસંગે પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી, પંકજ શાહ, અમીબેન શ્રોફ, રજની પટવા, પ્રમોદ જેઠી, સલીમ વઝીર, કલાધર મુતવા સહિતના અનેક કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1474 કરોડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આ યોજના મંજૂર થઈ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ડબલ ટ્રેક સુવિધાથી ઓખા અને સલાયા બંદરો પરથી રેલવે દ્વારા માલ પરિવહનમાં વધારો થશે, જેનાથી બંને બંદરોનો વિકાસ થશે અને આર્થિક મજબૂતીકરણ થશે. અંદાજે દર વર્ષે 11 મિલિયન ટનનો ફ્રેઈટ ટ્રાફિક વધવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાના મંદિરો અને શિવરાજપુર બીચ જેવા પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઝડપી, સલામત અને શ્રેષ્ઠ રેલવે સુવિધા મળશે. આ વિકાસ કાર્ય પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થશે. તેનાથી 14 કરોડ કિલો કાર્બન ડાયોક્સાઇડની અસર ઘટશે, જે 56 લાખ વૃક્ષો વાવવા સમાન છે. આ ઉપરાંત, દર વર્ષે અંદાજે 3 કરોડ લિટર ડીઝલની બચત થશે અને માલ પરિવહન તથા લોજિસ્ટિક ખર્ચમાં વાર્ષિક ₹311 કરોડની બચત થશે. આ પ્રોજેક્ટનો મોટો ખર્ચ ગણતરીના વર્ષોમાં સરભર થઈ જશે.
સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ દૂષણોને કેમેરામાં કેદ કરીને વિસ્તારના જાગૃત યુવાનોએ આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય તેવો વીડિયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે. આ દૃ્શ્યો શહેરના કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઉભા કરે છે. યુવાનોએ બ્રિજની નીચે જુગાર રમાતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યો છે. જાગૃત નાગરિકોના ગ્રુપે મેયર-પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યુંબ્રિજ નીચે ચાલતા આ તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. યુવા જાગૃત નાગરિકોના એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો, જુગાર જેવા દૂષણો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆતઆવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી કે વરાછા રોડ પર આવેલા પોદાર આર્કેડથી નવજીવન સુધીના બ્રિજની નીચે ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો અને જુગાર જેવા તમામ દૂષણો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા. બ્રિજની નીચે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક હટાવવા અને વેસુ વિસ્તાર કે શહેરના અન્ય પોશ વિસ્તારોની જેમ આ બ્રિજને પણ સુશોભિત કરવામાં આવે, જેથી અહીં અસામાજિક તત્વોનો જમાવડો ન થાય. યુવાનોની ઝૂંબેશને 10થી વધુ સામાજિક સંસ્થાઓનું સમર્થન યુવાનો દ્વારા શરૂ કરાયેલી આ સકારાત્મક મુહિમને વરાછા વિસ્તારની 10થી વધુ સામાજિક સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ સંસ્થાઓ પોતાના સત્તાવાર લેટરપેડ સાથે આ અભિયાનમાં જોડાઈ છે, જે સાબિત કરે છે કે સ્થાનિક નાગરિકોમાં આ દૂષણો પ્રત્યે કેટલો રોષ અને જાગૃતિ છે. જાગૃત નાગરિકોની આ પહેલથી સ્થાનિક પ્રશાસન પર દબાણ વધ્યું છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે મેયર અને પોલીસ કમિશનર આ ગંભીર મામલાને ધ્યાને લઈને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશે, જેથી સુરતના બાળકો અને યુવાનોને નશાના ભરડામાંથી બચાવી શકાય. બ્રિજ નીચેના દબાણ દૂર થાય, દૂષણો દૂર થાય: વિશાલ વસોયાઅભિયાન સાથે જોડાયેલા વિશાલ વસોયાએ જણાવ્યું હતું કે, વરાછાના જાગૃત યુવાઓ દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે, એ દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર, દારૂ, ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે અને એ ખુલ્લેઆમ અને ધોળા દિવસે. આ પુલની નીચે અનેક દૂષણો છે. વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે. તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય. 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છેઆ વરાછાના જે જાગૃત નાગરિકો છે, કે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટીફિકેશન થયું છે, એવું જ આ સરથાણાના વરાછાના બ્રિજની નીચે થાય. વીડિયોમાં જોયું કે કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લેઆમ જુગાર ચાલે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ અને ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે. નશાના કારોબારની અનેક ઘટનાઓ સામે આવીપોદારથી લઈને સરથાણા સુધીના બ્રિજની નીચે નશાનો કારોબાર ચાલતો હોવાની પહેલા પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલા જ કાપોદ્રા પોલીસ દ્વારા બ્રિજના 20 ફૂટ ઉપર પીલર પર સંતાડવામાં આવેલો ગાંજો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
હિંમતનગરમાં વાતાવરણમાં પલટો, વાદળો છવાયા:પવન ફૂંકાતા ઠંડી-ગરમીનો મિશ્ર અનુભવ
હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને સમયાંતરે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાતાવરણના બદલાવને કારણે દિવસભર ઠંડી અને ગરમીની મિશ્ર અસર અનુભવાઈ રહી છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળામાં વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેતી અને શાકભાજીના પાકો પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે એક મોટી સિદ્ધિરૂપ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીને પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ અધ્યતન સુવિધાઓ અને સંશોધન કેન્દ્રોના વિકાસ માટે કુલ 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના માળખાકીય અને શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવાનો છે, જેમાં ખાસ કરીને બાયોસાયન્સ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચને મજબૂત કરવા માટે અધ્યતન સાધનોની ખરીદી પર ભાર મૂકવામાં આવ્યો છે. 100 કરોડના કામોમાંથી 80 કરોડના કામોને ટેકનિકલ મંજૂરીયુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ના આધારે કુલ 100 કરોડના કામોમાંથી 80 કરોડના કામોને ટેકનિકલ મંજૂરી મળી ચૂકી છે, જ્યારે બાકીના 20 કરોડના કામોની મંજૂરી ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે. આ તમામ કાર્યો માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ભંડોળનો ઉપયોગ બે વર્ષથી વધુ સમયગાળા દરમિયાન થવાનો છે અને હાલમાં કામગીરીના પ્રારંભિક તબક્કે 1 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જેમ જેમ કામ પૂર્ણ થતું જશે તેમ તેમ નાણાંની ચુકવણી ક્રમશઃ કરવામાં આવશે. 80 કરોડના મંજૂર થયેલા કાર્યોમાં યુનિવર્સિટીના કેમ્પસમાં અનેક નવીન ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે: દક્ષિણ ગુજરાતના મહત્ત્વના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય સંશોધનને વેગ મળશેઆ ગ્રાન્ટનો એક મહત્ત્વનો ભાગ 25 કરોડના ખર્ચે બની રહેલા રિસર્ચ સેન્ટર માટે ફાળવવામાં આવ્યો છે. કુલપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે યુનિવર્સિટી પાસે ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ફાર્માસ્યુટિકલ, બ્લુ ઇકોનોમી દરિયાઈ સીમાઓ, ડાયમંડ સહિતના નવ જેટલા વિવિધ ક્ષેત્રોમાં રિસર્ચની શક્યતાઓ હોય, પરંતુ આ રિસર્ચ સેન્ટરમાં શરૂઆતમાં મુખ્યત્ત્વે બાયોસાયન્સ અને બાયોટેકનોલોજીના સંદર્ભમાં જ રિસર્ચ માટેના અધ્યતન સાધનોની ખરીદી કરવામાં આવશે. આનાથી દક્ષિણ ગુજરાતના આ બંને મહત્ત્વના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય સંશોધનને વેગ મળશે અને વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોને આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો સાથે કામ કરવાની તક મળશે. જાહેર પરીક્ષાઓ માટે આધુનિક ડેટા સેન્ટર અને સુવિધાઓમાત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પણ યુનિવર્સિટી શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયાઓને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરી રહી છે. આ ગ્રાન્ટમાંથી એક આધુનિક ડેટા સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી સજ્જ હશે. આ ડેટા સેન્ટરમાં 250 જેટલાં કમ્પ્યુટરો મૂકવામાં આવશે અને તેને આધુનિક સ્વીચો સાથે જોડવામાં આવશે. આ સુવિધા ઊભી કરવાનો મુખ્ય હેતુ એ છે કે યુનિવર્સિટી દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ માટે એક જ જગ્યાએ કેન્દ્રીકૃત વ્યવસ્થા ઉભી કરી શકાય. આનાથી પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સુવિધાજનક બનશે. આ પગલું યુનિવર્સિટીને ડિજિટલ શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં અગ્રેસર બનાવશે. PM-USHA યોજનાનું લક્ષ્ય પૂર્ણ કરવા તરફ યુનિવર્સિટી અગ્રેસરવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને મળેલી આ 100 કરોડની ગ્રાન્ટ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનના મુખ્ય ઉદ્દેશને સિદ્ધ કરવા તરફનું એક મહત્ત્વનું પગલું છે. આ યોજના ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા, સમાવેશકતા અને માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. VNSGU આ ભંડોળનો ઉપયોગ કરીને માત્ર પોતાની ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ સંશોધન અને શૈક્ષણિક પ્રણાલીને પણ આધુનિક બનાવીને દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાના રિસર્ચ અને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે.
12મી ચિંતન શિબિર માટે CM ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે. મુખ્યમંત્રી ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારતમાં નીકળ્યાઆ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા. PM મોદીએ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. 12મી ચિંતન શિબિર ‘સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.
અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ, શંકાસ્પદ પકડાયો
US News: દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પણ વાંચોઃ વધુ એક આફ્રિકન દેશમાં તખ્તાપલટ!
વ્હાઈટ હાઉસની બહાર કોણે હુમલો કર્યો? અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આતંકી ઘટના ગણાવી
Donald trump White House shooting: અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર અમેરિકામાં સનસનાટી ફેલાવી દીધી છે. એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. વળતા જવાબમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના બાદ ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને 'જાનવર' કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો.
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. મોડી રાત્રે યુવકના ભાઈને કોઈક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો કે જયદીપ અહીં પડ્યો છે. યુવક જ્યારે બેભાન જેવી હાલતમાં મળ્યો, ત્યારે તેના અંતિમ શબ્દો હતા કે, ભાઈ મને છાતીમાં લાગી ગયું છે, બહુ દુખાવો થાય છે. મૃતકના ભાઈએ આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય તેવી માગણી કરી છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવક જયદીપના મૃતદેહને પેનલ પીએમમાં મોકલવામાં આવ્યો છે. ફોન આવતા મૃતકનો ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યામૃતક જયદીપ તેના પરિવારમાં માતા અને ભાઈ ભરતભાઈ સોસા સાથે રહેતો હતો. મૃતકના ભાઈ ભરતભાઈએ દિવ્ય ભાસ્કરને સમગ્ર બાબત જણાવતા કહ્યું કે, ગઈકાલે સાંજે આશરે સાડા સાત વાગ્યે જયદીપે તેમને જમવા અંગે પૂછ્યું હતું. ત્યારબાદ જયદીપે કોઈ કામ જોવા જવાનું છે, એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ ભરતભાઈને કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે, તારો ભાઈ અહીંયા પડ્યો છે. આ ફોન આવતા જ ભરતભાઈ પોતાના મિત્રની બાઇક લઈને તાત્કાલિક સી.એલ. કોલેજ નજીક પહોંચ્યા.. મૃતકના છેલ્લા શબ્દો : ભાઈ મને છાતીમાં દુઃખે છે'ઘટનાસ્થળે પહોંચીને ભરતભાઈએ જોયું કે તેમનો ભાઈ જયદીપ બેભાન જેવી હાલતમાં જમીન પર પડ્યો હતો. ભરતભાઈએ જયદીપને ઉઠાડ્યો અને પૂછ્યું કે, તને શું થયું છે? જયદીપના અંતિમ શબ્દો હતા કેમને છાતીમાં લાગી ગયું છે, અને છાતીમાં બહુ દુખાવો થાય છે. ભરતભાઈ અને તેમના મિત્રએ તેને ગાડીમાં બેસાડી ઘરે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયદીપ ત્યાં ઘરમાં જ ઢળી પડ્યો. તરત જ 108ને બોલાવવામાં આવી અને તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.. માથાકૂટની આશંકા: પોલીસ તપાસની માગભરતભાઈ સોસાએ પોતાના ભાઈના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનો ભાઈ જ્યાં પડ્યો હતો, ત્યાં તે જગ્યા પર રોજ બે ચાર લોકો હોય છે. જોકે, જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં બીજું કોઈ હાજર નહોતું.ભરતભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે મારો ભાઈ જે રીતે પડ્યો હતો અને તેને છાતીમાં દુખાવો થતો હતો, તે જોતા કદાચ માથાકૂટ થઈ હોય અને એમાં તેને લાગી ગયું હોય એવું બની શકે છે. આથી, તેમણે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મજબૂત માગ કરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યોઆ ગંભીર ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતકના ભાઈ ભરતભાઈ સોસાનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખસેડ્યો છે, જેના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. અકસ્માત કે હત્યાની આશંકા સહિત તમામ દિશાઓમાં તપાસપોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અકસ્માત કે હત્યાની આશંકા સહિત તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. મૃતકના છેલ્લા શબ્દો અને ભાઈના નિવેદનને આધારે પોલીસ તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.
સરકાર દેશમાં ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીનો અને સરકારી કચેરીઓ પર જુદા જુદા 28 લોકેશન પર ટુ વ્હીલર થી લઈ ભારે વાહનો માટે 749 લાખના ખર્ચે વાહનોના ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા આયોજન કર્યું છે. જે દરખાસ્તને રાજ્યકક્ષાની નોડલ એજન્સીને મોકલવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અપાશે. પી એમ ઈ ડ્રાઈવ યોજના અંતર્ગત વિસ્તારોમાં સાર્વજનિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે અને મહાનગરપાલિકાને ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે મશીનરી તથા ઈલેક્ટ્રીક માળખા ખર્ચ સો ટકા સબસીડી મળવાપાત્ર છે. આગામી દિવસોમાં શહેરના જુદા વિસ્તારોમાં 6 કિલો વોટ થી લઈ 240 કિલો વોટ સુધીના કુલ 28 ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જેમાં શહેરની મુખ્ય કચેરીઓના પાર્કિંગમાં, હાઇવે એન્ટ્રી પોઇન્ટ પર, વિદ્યાર્થીઓની અવરજવરવાળા લોકેશન પર, ગાર્ડન અને કોમર્શિયલ હબ વિસ્તારમાં તેમજ ભારે વાહનોની અવરજવરના સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. દરખાસ્ત રાજ્ય કક્ષાની નોડલ એજન્સીને મોકલવા સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર લગાવશે. તદુપરાંત કાળીયાબીડ અને દક્ષિણ સરદારનગર વોર્ડમાં જૂની સોસાયટીઓમાં પાણીની ડીઆઇ લાઈન નાખવા, બોડી વિસ્તારમાં મંગળા માતાના મંદિર પાસે ટ્રાફિક આઇલેન્ડ બનાવવા, પ્લાન્ટ થી મસ્તરામ બાપા મંદિર તરફના તેમજ બોર તળાવ બાલવાટિકા થી ધોબીઘાટ તરફના રસ્તે સેન્ટ્રલ સ્ટ્રીટ લાઈટ ઇસ્ટોલેશન કરવાનું કામ, નવાપરા વિસ્તારમાં સંત કવરરામ ચોક પાસે ઈએસઆર અને સંપ બનાવવાનું કામ તેમજ આંખલોલ જકાતનાકા પાસે ઇન્દિરાનગર વિસ્તારમાં પણ ઈએસઆર અને સંપ બનાવવા સહિતના રૂ.23.69 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવશે
સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:તંત્ર જાગ્યુ, મૃત પશુઓને પદ્ધતિસર ખાડો ગાળી નિકાલ કરવામાં આવ્યો
શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મૃત પશુઓને ઉપાડી ગોરસ સ્મશાન પાસે જાહેરમાં મૃત પશુઓને એજન્સી દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા. અંતે તંત્રની આંખ ખુલતા આજે એજન્સીને નોટીસ ફટકારી દરિયાઈ ક્રિક પાસે ખાડો ગળાવી તેમાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણમાં આગેકુચ કરનાર ભાવનગર મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે મૃત પશુઓના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાયેલ એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવી હતી અને શહેરના ગોરડ સ્મશાન સામે જાહેરમાં મૃત પશુઓને ફેંકી દેવામાં આવ્યા હતા. ખરેખર એજન્સી દ્વારા દરિયાઈ ક્રિક સુધીના વિસ્તારમાં ખાડો ગાળી તેમાં મૃત પશુઓનો નિકાલ કરવાનો રહે છે અને તે પ્રમાણે જ કોન્ટ્રાક્ટરની શરતો પણ તંત્ર દ્વારા રાખવામાં આવી છે. તેમ છતાં એજન્સી દ્વારા જાહેરમાં મૃત પશુઓના ઢગલા કરવામાં આવતા અંતે આજે ખુદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ફાલ્ગુનભાઈ શાહ પણ રૂબરૂ સ્થળ પર ગયા હતા અને એજન્સીને નોટીસ ફટકારી હતી. તેમજ એજન્સી દ્વારા ક્રિક પાસે જેસીબીથી ખાડો ગાળી તેમાં મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પશુ સ્મશાન બનાવવાનું પણ આયોજન છે અને તેની પ્રક્રિયા પણ શરૂ છે. પશુ સ્મશાનનું નિર્માણ થયા બાદ મૃત પશુઓના નિકાલનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે.
TET-1ની પરીક્ષાની તારીખ જાહેર:ધોરણ 1થી 5માં શિક્ષક બનવા 21 ડિસેમ્બરે લેવાશે TET-1ની પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 21 ડિસેમ્બરે લેવાનારી શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-1) માટે ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે કુલ 1,01,500 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે. જ્યારે વર્ષ 2023માં પરીક્ષા આપવા 87 હજાર વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા, આથી આ વખતે ટેટ-1 માટે કુલ ઉમેદવારની સંખ્યા લગભગ 14 હજાર જેટલી વધી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક બનવા માટે યુવાનોમાં વધતી ઉત્સુકતા અને સ્પર્ધા હોવાનું જોવા મળે છે. આ વિક્રમજનક નોંધણી પાછળનું એક મુખ્ય કારણ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. જે મુજબ TET-1ની પરીક્ષામાં પીટીસીના બીજા વર્ષના છાત્રોને લાયક ગણતા 5015 ઉમેદવાર વધ્યા છે. કુલ નવા રજિસ્ટ્રેશનમાંથી 4,798 ગુજરાતી માધ્યમના, 92 હિન્દી માધ્યમના અને 125 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીએ નોંધણી કરી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ-1 માટેનું જાહેરનામું 14 ઑક્ટોબરે બહાર પાડ્યું હતું અને 29 ઑક્ટોબરથી ઑનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 12 નવેમ્બર સુધીની મુદત નક્કી કરવામાં આવી હતી. આ વર્ષે ટેટ-1 માટે થયેલી રેકોર્ડબ્રેક નોંધણીઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વધતી સ્પર્ધા અને તકની માંગને દર્શાવે છે. . હવે તમામ ઉમેદવારોનું ધ્યાન 21 ડિસેમ્બરે યોજાનારી ટેટ-1 પરીક્ષાની તૈયારી પર કેન્દ્રીત થયું છે. ટેટ-1ની પરીક્ષા આગામી 21 ડિસેમ્બરે રાજ્યભરમાં લેવાશે.
કરુણ ઘટના:ત્રણ મિત્રો સાથે કુવામાં ન્હાવા પડેલા ગુંદરણાના યુવકનું ડુબી જતા મોત
મહુવા તાલુકાના ગુંદરણા ગામે રહેતો એક યુવક તેના ત્રણ મિત્રો સાથે ગત સાંજના સુમારે કુવામાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન મિત્રો સાથે કુવામાં ન્હાવનો આનંદ લઇ રહ્યો હતો તે વેળાએ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં અન્ય ત્રણ મિત્રોએ યુવકને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પ્રયત્ન નિરર્થક રહ્યા હતા. જે બાદ ફાયરના સ્ટાફને જાણ કરાતા ફાયરના જવાનોએ મોડી રાત્રીના યુવકને મૃત હાલતે બહાર કઢાતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહુવાના ગુંદરણા ગામે રહેતા કાંતિભાઇ બાલાભાઇ શિયાળ (ઉ.વ.42) ગત સાંજના ચારેક વાગ્યાના સુમારે તેમના ત્રણ મિત્રો કનુભાઇ વાસુરભાઇ, નાઝુભાઇ જેઠુરભાઇ અને પરેશ ધિરૂભાઇ સાથે કુવામાં ન્હાવા ગયા હતા. અને જે દરમિયાન તેઓ કુવામાં 80 ફુટ જેટલું પાણી ભરેલ હોય જે પાણીમાં કાંતિભાઇ શિયાળ ગરકાવ થયા હતા. જેઓને બચાવવાનો પ્રયત્નો તેના મિત્રો દ્વારા કરાયો હતો પરંતુ પ્રયત્નો નિરર્થક સાબિત થયા હતા. અને અંતે ગામના સરપંચ સહિત ફાયરના સ્ટાફને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે આવી, કુવાના તળિયેથી યુવકને મૃત હાલતે બહાર કઢાયો હતો. જે બાદ યુવકની લાશને પી.એમ. અર્થે ખસેડી, બગદાણા પોલીસે અક્સમાતે મોત થયાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિહોર નગરપાલિકામાં આજે મળનાર સાધારણ સભાને લઈને વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતુ. સત્તા પક્ષ દ્વારા જાણી જોઈને સાધારણ સભામાં વધુ પડતા મુદ્દાઓનો સમાવેશ કરીને બહુમતીના જોરે વિપક્ષના સભ્યોને યોગ્ય બોલવાની કે રજૂઆતની તક આપવામાં ન આવતા વિપક્ષ રોષે ભરાયો હતો. સિહોર વિપક્ષના નેતા અપક્ષ નગરસેવકો મહેશભાઈ લાલાણી અને દીપસંગભાઈ રાઠોડના આક્ષેપો કર્યા હતા કે સિહોરમાં બનનાર ઓડિટોરિયમ હોલનું ટેન્ડર મળ્યાના એક મહિનો અગાઉ ખાતમુહૂર્ત કરેલ તો તમને એક મહિનો પહેલા કેમ ખબર પડી કે સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીને જ કામ મળશે તેથી અમારો ભ્રષ્ટાચારનો સ્પષ્ટ આક્ષેપ છે. આ કંપનીએ એગ્રીમેન્ટ અને વર્કઓર્ડર આજ સુધી આપવામાં આવેલ નથી તેથી તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવો જોઈએ તથા ગઈ વખતે બાહેધરી આપેલ કે સાધારણ સભામાં પ્રશ્નોત્તરી લેશું પરંતુ દર વખતે પ્રશ્નોત્તરીનો મુદ્દો લેતા નથી અને વિપક્ષનો હક છીનવો છો આવું કરીને તમારી અણઆવડત અને ભ્રષ્ટાચાર છુપાવો છો એવું લાગે છે, 2 મહિના અગાઉ પૂછેલ પ્રશ્નોના જવાબ હજુ સુધી આપેલ નથી, પાણી પુરવઠાની વસ્તુની કરેલ ખરીદીની વસ્તુ બજારમાં મળતા ભાવ કરતા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે છે અમે આર.ટી.આઈ. કરી માહિતી માગીએ તો પણ માહિતી સમયસર નથી આપવામાં આવતી. સિહોરમા જ્યાં કચરો ઠલવાય છે તે ઉથરેટીના અને ગટરના પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે આમ સિહોર શહેરના મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપો કરેલ.
સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:સિહોરમાં ઊભરાતી ગટર આખરે બંધ કરાઇ
ૉસિહોરમાં વોર્ડ નં.5માં નવ સોસાયટીઓ આવેલી છે આ વસાહતીઓના મુખ્ય રસ્તા અને શૈક્ષણિક સંસ્થાઓના જવાના માર્ગ પર છેલ્લા દોઢેક માસથી ગટર ઊભરાતી હતી. આ અંગેના સમાચાર તા.26.11.25 ને બુધવારે પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું અને તાત્કાલિક ધોરણે ગટર રિપૅરનું કામ કરી દેવાયું હતુ આથી આ વિસ્તારના રહીશોમાં રાહતની લાગણી પ્રસરી છે. ૉ
ગમખ્વાર અકસ્માત સર્જાયો:વેટરનરી તબીબે કાર પુરઝડપે ચલાવી બાઇક ચાલકને અડફેટે લેતા મોત
ઊના નજીક આવેલ રામેશ્વર ગામના પાટિયા પાસે એક વેટરનરી તબીબે પોતાના હવાલાવાળી કારને પુરપઝડપે, બીફકરાઇ ચલાવી એક બાઇક ચાલક સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે ઘટના માં બાઇક ચાલકનું મોત થતાં પરિવારના સભ્યોમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. અકસ્માતના ગુનામાં પોલીસે વેટરનરી તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઊના પંથક જાણે અકસ્માત નો ઝોન બની ગયો હોય તેમ વારંવાર અકસ્માત ના બનાવો વધતા જાય છે. આજે ઊના-ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર ઊના થી 15.કિલોમીટર દૂર રામેશ્વર ગામ ના પાટિયા પાસે બેડીયા તરફ જતા રોડ ઉપર બાબુભાઈ ભાવાભાઈ સોલંકી (ઉ.વ.50 રહે. ઉમેજ તા. ઊના) પોતાના કબજા વળી મોટર સાયકલ લઇ બેડીયા રોડ ઉપર જતા હતા. જે દરમિયાન વેટરનરી તબીબ હરપાલસિંહ ભરતભાઇ ગોહિલ (રહે. બગસરા, જિ. અમરેલી)એ પુરપાટ ઝડપે પોતાની અલ્ટો કાર નં. GJ 14 AP 8109 બેફીકરાઇ, પુરપઝડપે ચલાવી, બાઇક ચાલક બાબુભાઇ સોલંકી સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત બાદ બાઇક ચાલક આધેડ રોડ ઉપર પટકાતા આધેડનું મોત નિપજ્યું હતું અકસ્માત મામલે વેટરનરી તબીબ હરપાલસિંહ ભરતભાઇ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી.
ટ્રાફિકની સમસ્યા વકરી:મહુવામાં આડેધડ વાહન પાર્કીંગથી ટ્રાફિકની સમસ્યા
મહુવા શહેરમાં ચોક્કસ વિસ્તારમાં આડેધડ રોડ ઉપર વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે. આ પ્રશ્ન હલ કરવા નગરપાલીકા, પોલીસ અને કોમ્પલેક્ષના સંચાલકોએ સંયુક્ત ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. મહુવાના ડોકટર સ્ટ્રીટ વાછડાવીરથી વાસીતળાવ વાછડાવીરથી એસ.બી.આઇ. શાક માકેર્ટ રોડ, ભાદ્રોડ ઝાપાથી મેઘદુત ચોક, સ્ટેશન રોડ વગેરે રોડ ઉપર અવાર-નવાર ટ્રાફિકને કારણે જામ થતો હોય આ રોડ ઉપર ટ્રાફિક પોઇન્ટ મૂકી ટ્રાફીક નિયંત્રીત કરવા, ફુટપાથ પરના દબાણો દુર કરવા, સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસીંગ ઉપર પટ્ટા લગાવવા, રસ્તા ઉપર રઝળતા પશુઓ પર નિયંત્રણ, ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા કરવામાં આવેલ કાર્યવાહીની સમિક્ષા કરવા શહેર રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવે અને સમિતિ નિયમિત રીતે જરૂરી સુચનો જવાબદાર તંત્રને કરે અને તેના અમલની સમીક્ષા કરે તો જ સમસ્યાનો હલ આવશે. દરબારગઢ માફક વાસીતળાવથી બગીચા ચોક જતા રોડ ઉપર રોડની વચ્ચે ડીવાઈડર ઉપર અને રોડ રોકીને ડીવાઈડરની બન્ને બાજુ વાહન પાર્કિંગ કરવામાં આવે છે. કોમ્પલેક્ષમાં દુકાનો ધરાવતા અને આસપાસના દુકાનદારો પોતાના વાહનો કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરવા જોઈએ. હોસ્પિટલ રોડ ઉપર કેટલાક કોમ્પલેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા નથી પરંતુ નગર પાલીકા દ્વારા હોસ્પિટલની સામે બનાવવામાં આવેલ કોમ્પલેક્ષમાં અંડરગાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ છે. પાર્કિંગના જાહેરનામાની અમલવારી જરૂરીમહુવાના લોકો ટ્રાફિકના પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગયા બાદ અનેક દાદ ફરીયાદ પછી જીલ્લા કલેક્ટરને મહુવા વહીવટી તંત્ર મારફત મહુવા પોલીસ અને નગરપાલિકાએ મહુવાના કેટલાક માર્ગો ઉપર એકી-બેકી તારીખે પાર્કિંગ, પ્રવેશબંધી, નો પાર્કિંગ ઝોન, માટે જાહેરનામું બહાર પાડવા અરજ કરેલ. જે જાહેરનામું જુલાઇ-2017માં બહાર પાડ્યા બાદ આજે બે-અઢી વર્ષનો સમય પસાર થયા બાદ માત્ર જાહેરનામાના હુકમ દર્શાવતા બોર્ડ મારી તંત્રએ કામ કર્યાનો આનંદ પ્રાપ્ત કરેલ છે. જેની કડક અમલવારીની જરૂર છે.
લોકડાયરાનું આયોજન:કાગબાપુની 122મી જન્મજયંતિ નિમિત્તે કાગ વંદનાના નામે લોકડાયરો યોજાયો
ભાવનગરમાં કવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ની 122મી જન્મજયંતિના અવસરે મંગળવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે “કાગ વંદના” નામે ભવ્ય લોકડાયરો યોજાયો. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ બંસલ, મેયર ભરતભાઈ બારડ, રાજુભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ કૃણાલભાઈ શાહ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ન,પ્રા,શિ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. યુવરાજ સાહેબે પોતાના પ્રાસંગિક સંબોધનમાં જાહેરાત કરી કે આગામી વર્ષથી “કાગ વંદના” કાર્યક્રમ નીલમબાગ પેલેસ ખાતે યોજાશે કહ્યુ હતુ. સૌરાષ્ટ્ર યુનિ. ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અંબાદાનભાઈ રોહડિયા, કવિ વિનોદભાઈ જોશીએ કાગ સાહિત્ય, લોકવારસા અને માનવીય મૂલ્યો પર માર્મિક, પ્રેરક અને સંશોધનાત્મક વક્તવ્ય આપ્યાં હતાં. લોકકલાના આ સંગમમાં કલાકારો હરેશભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નનકુભાઈ ગઢવી અને મુક્તિદાન ગઢવીએ કાગબાપુના પદો, ભજનો અને કાવ્યો દ્વારા એવું લોકસૌરભ વેર્યું કે સમગ્ર ઓડિટોરિયમ ભાવયાત્રામાં તણાઈ ગયું. કાર્યક્રમનું સંયોજન કાગબાપુના પ્રપૌત્ર ઈશભાઈ કાગે સંભાળ્યું હતું. કાગ સાહિત્યની લોકધારાને સમર્પિત આ અવિસ્મરણીય સાંસ્કૃતિક રાત્રિએ ફરી એકવાર સાબિત કર્યું કે કાગબાપુ માત્ર કવિ નહીં, પરંતુ જનમાનસના અમર લોકદાર્શનિક છે.
વીજચોરી ઝડપાઈ:PGVCLની મેગા ડ્રાઈવમાં 32 લાખની વીજચોરી ઝડપાઈ
જી.યુ.વી.એન.એલ. અને પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત કામગીરીમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વીજચોરી ડામવા વીજ ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ નીચેના મહુવા અને પાલિતાણા ડિવિઝન બાદ આજે ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના વિસ્તારોમાં કોર્પોરેટ ટીમોના જંગી કાફલા સાથે કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ.ની મેગા ડ્રાઈવમાં ભાવનગર ગ્રામ્ય, વલભીપુર અને સિહોર તાલુકામાંથી આજે રૂ.32 લાખની વીજચોરી પકડાઈ હતી. પી.જી.વી.સી.એલ.ની સ્પેશિયલ ડ્રાઈવમાં આજે ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના ભાવનગર ગ્રામ્ય, વલભીપુર અને સિહોર તાલુકામાં વીજચોરી પકડવા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વરતેજ સબ ડિવિઝન, સિહોર રૂરલ સબ ડિવિઝન, સણોસરા સબ ડિવિઝન અને વલભીપુર સબ ડિવિઝન નીચેના વિસ્તારોમાં 39 ટીમોના સામૂહિક દરોડામાં કુલ 275 વીજ જોડાણની તપાસમાં 91 વીજ જોડાણમાંથી રૂ.32 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજચોરી પકડવા અંગેની ખાસ ડ્રાઈવમાં 11 કે.વી. નવાગામ જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. હળીયાદ જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. ગુંદાળા જ્યોર્તિગ્રામ ફિડર, 11 કે.વી. સોનગઢ જ્યોર્તિગ્રામ ફિડર અને 11 કે.વી. વિપુલ જ્યોર્તિગ્રામ ફિડરમાં સમાવિષ્ટ વરતેજ, હળીયાદ, ઢૂંઢસર, અમરગઢ અને ઉંડવી ગામમાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. વીજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 14 એસ.આર.પી. જવાન, 8 પોલીસ જવાન અને 7 જી.ઈ.બી. પોલીસ જવાનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. 275 જોડાણમાંથી 91માં વીજ ચોરી ઝડપાઈભાવનગર રૂરલ ડિવિઝન નીચેના વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ની વિશેષ ડ્રાઈવમાં 265 રહેણાંકી અને 10 વાણિજ્યના મળી કુલ 275 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 89 રહેણાંકી અને 2 વાણિજ્યના મળી કુલ 91 વીજ જોડાણમાંથી રૂ.32 લાખની વીજચોરીનો દંડ જે તે ગ્રાહકોને ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસમાં 77.67 લાખની વીજચોરી મળીવીજચોરી ડામવા જી.યુ.વી.એન.એલ. અને પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત કામગીરીમાં ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વીજ ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તા.24મીને સોમવારે રૂ.25.77 લાખની, તા.25મીને મંગળવારે રૂ.19.89 લાખની અને આજે તા.26મીને બુધવારે રૂ.32.01 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે ત્યારે જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 77.67 લાખની વીજચોરી મળી છે.
SIR:જિલ્લામાં 1 લાખથી વધુ મતદાર મળ્યા નથી
ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (સર)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક માટે આજ સુધીમાં કુલ 73.08 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આ કામગીરીમાં જાણવા મળ્યું છે કે મતદાર યાદી પૈકી મૃતક, ગેરહાજર અને અન્યત્ર શિફ્ટ થયા હોય તેવા 1 લાખથી વધુ મતદાર આ યાદીમાં બી.એલ.ઓ.ને નજરે ચડ્યા છે તેમને હવે નોટિસ સમય આપવામાં આવશે અને તેમાં નામ ઉમેરવાની કે સુધારવાની તક મળશે. આ માટે જુદા જુદા ફોર્મ ભરવાના રહેશે. જો કે હજી બીએલઓ બીજી અને ત્રીજી વાર મતદારોના ઘરે જઇ રહ્યાં છે અથવા તેનો સંપર્ક કરવા પ્રયત્ન કરશે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા પૈકી સૌથી વધુ કામગીરી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં 79.48 ટકા થઇ છે જ્યારે સૌથી ઓછી કામગીરી ભાવનગર પશ્ચિમમાં માત્ર 65.22 ટકા જ થઇ છે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા વિસ્તારમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાની કામગીરી ગત તા. 4 નવેમ્બરથી થઇ છે અને આ કામગીરી તા. 4 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં મતદારોના ફોર્મ કામગીરી કરવામાં આવશે. છેલ્લા 23 દિવસમાં એકંદરે 73.08 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. હજી 26.92 ટકા કામગીરી બાકી છે. ભાવનગરની સાતેય વિધાનસભામાં કુલ મળીને 18,66,937 મતદારો નોંધાયેલા છે અને તે પૈકી 13,64,390 મતદારોની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે કુલ ૧૮,૬૬,૯૩૭ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૧ર,૮પ,પ૯ર મતદારના ફોર્મ ભરાય ગયા છે, જયારે હજુ 5,02,628 મતદારના ફોર્મ ભરવાના બાકી છે. આ કામગીરી અંતર્ગત મતદાર મૃતક હોય કે ગેરહાજર હોય અથવા અન્યત્ર શિફ્ટ થઇ ગયા હોય તેવાની કુલ સંખ્યા 1,01,986 નોંધાઇ છે. જે કુલ મતદારો યાદીમાં છે તેના 5.46 ટકા થાય છે. ગેરહાજર હોય કે અન્યત્ર શિફ્ટ થઇ ગયા હોય મતદારો જાગૃતિ નહીં દાખવે તો તેમના નામ કમી થઇ જવાની ભીતિ છે. જો કે હજી તો હજી નોટિસ આપવામાં આવશે અને તેમાં પુરતા પુરાવા રજૂ કરનારા મતદારોના નામ પુન: યાદીમાં આવી જશે. ડ્રાફટ મતદાર યાદીનું પ્રકાશન તા. 9 ડિસેમ્બર થશે. દાવા અને વાંધાની અવધિ આગામી તા. 9 ડિસેમ્બરથી આગામી તા. 8 જાન્યુઆરી,2026 રહેશે. નોટીસ તબક્કો જેમાં સુનાવણી અને ચકાસણી થશે તે આગામી તા.9 ડિસેમ્બરથી તા. 31 જાન્યુઆરી સુધી રહેેશે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન આગામી તા. 7 ફેબ્રુઆરી,2026ના રોજ થશે. ઘરે મતદાર ન મળે તો નોટિસ મોકલાશેઘરે બીએલઓ આવે અને મતદાર ન મળે તો , બહાર ગામ હોય, લાંબા સમયથી ગેરહાજર હોય, અહીં નથી રહેતા એવો જવાબ મળે તો તત્કાલ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવતું નથી પણ નોટિસ મોકલાય છે. જેમાં મતદારને સ્થાયી નિવાસ અથવા હાજરીના પુરાવા માટે તક અપાશે. ભુલથી નામ કમી થઇ ગયું હોય તો ફોર્મ ભરવાના રહેેશે. પશ્ચિમમાં સૌથી વધુ 24,181 મતદાર મળ્યા નથીઅત્યાર સુધીમાં જે કામગીરી કરવામાં આવી તેમાં બીએલઓ ઘરે ઘરે જઇને તપાસ કરે છે તેમાં સાત વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ 24,181 મતદાર ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં મળ્યા નથી. કે જેઓ મૃતક હોય કે ગેરહાજર હોય અથવા અન્યત્ર શિફ્ટ થઇ ગયા છે. તેમાં મૃતક હોય તો તો વાંધો નહી પણ બાકી નાક મકી થશે તો છેલ્લે દોડવું પડશે. ભાવનગર પશ્ચિમમાં કુલ મતદારના 8.95 ટકા મતદાર મળ્યા નથી કે સંપર્ક થઇ શક્યો નથી. આવું જ ભાવનગર પૂર્વમાં પણ છે જ્યાં 21,806 મતદારોનો સંપર્ક થઇ શક્યો નથી. શહેરના આ બન્ને મતક્ષેત્રમાં જ 45,987 મતદારો મળ્યા નથી.
તપાસનો ધમધમાટ શરૂ:સિહોરની ફરનેસ, રોલિંગ મિલોમાં SGST એન્ફોર્સમેન્ટ વિંગના દરોડા
ભાવનગર જીલ્લાની ફરનેસ મિલો, રી-રોલિંગ મિલો, કપડાના, ચશ્માના શો-રૂમ અને વ્યવસાયકારોના નિવાસ્થાને અમદાવાદથી આવેલી સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અને પ્રારંભિક કાર્યવાહીમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અધિકારીઓના હાથ લાગી ગઇ છે. સિહોરના જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફરનેસ મિલો અને રી-રોલિંગ મિલોમાં બુધવારે સવારથી જ અમદાવાદથી સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મોડી રાત્રે પણ આ કામગીરી થયાવત છે. સિહોરમાં આવેલી એચયુવી ફરનેસ, કેપિટલ રોલિંગ મિલ, રાજ ઇસ્પાત, સ્ટીલ બીઝની પેઢીઓ ઉપરાંત આ ચારેય પેઢીઓના ભાગીદારો, માલીકોના ભાવનગરના શિશુવિહારમાં આવેલા નિવાસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. અને વાઘાવાડી રોડ પર તૈયાર કપડાના શો-રૂમ, ચશ્માના શો-રૂમ ખાતે ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી એચયુવી ફરનેસ, કેપિટલ રોલિંગ મિલ, રાજ ઇસ્પાત, સ્ટીલ બીઝ પેઢીઓમાં સ્ક્રેપની કાચા માલ તરીકે ખરીદી કરવામાં આવતી હતી, અને બાદમાં માલ ખરાબ હોવાથી પરત કરવામાં આવે છે તેવા રિમાર્ક સાથે માત્ર બિલ પરત કરવામાં આવતા હતા. બાદમાં બિલ વિનાના કાચા માલ વડે તૈયાર કરવામાં આવતા સળીયાનું રોકડમાં વેચાણ કરવામાં આવી રહ્યું હતુ, અને વેચાણ બિલ સદંતર બનાવવામાં આવી રહ્યા નહીં હોવાની તંત્રને બાતમી મળી હતી, અને બાતમીના આધારે એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 15 દિવસ અગાઉ ગુપ્તરાહે ચકાસણી કરવામાં આવી હતી, અને તેમાં પાક્કુ થઇ ગયુ હતુ કે, આ પેઢીઓમાંથી જીએસટી ચોરી કરવામાં આવી રહી છે. બિલ વિનાની સળીયાની ગાડીઓ રાત્રે નિકળેભાવનગર જીલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી ફરનેસ અને રોલિંગ મિલોના તૈયાર સળીયા બિલ વિના માર્કેટમાં પધરાવવા માટે ટ્રકના પરિવહન કરવામાં રાત્રિનો સમય પસંદ કરવામાં આવે છે. રોડ ચેકિંગ માટેના સ્ટેટ અને સીજીએસટીના કર્મીઓની મીલીભગતથી બિલ વિનાના સળીયાના ટ્રક બેફામ પરિવહન કરે છે.
અરજદારો અને વેપારીઓમાં ફેલાયો રોષ:ભાવનગર CGST કચેરીમાં મોબાઇલ ફોનને અનુમતિ નહીં
સેન્ટ્રલ જીએસટીની ભાવનગર કચેરીમાં અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલા વિચિત્ર નિયમોને કારણે વેપારીઓ, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ સહિતના અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરની સીજીએસટી કચેરી હિમાલયા મોલમાં આવેલી છે, અને અહીં નિયત કામગીરી માટે આવતા વેપારીઓ, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ સહિતના લોકો માટે વિચિત્ર આદેશ કરવામાં આવ્યો છે, અને અહીં કામ માટે આવતા તમામ લોકોના મોબાઇલ ફોન કચેરીની અંદર લઇ જવાની સ્પષ્ટ મનાઇ ફરમાવવામાં આવી છે. તાજેતરમાં એક ચાર્ટ્ડ એકાઉન્ટન્ટનો મોબાઇલ બહાર મુકાવી દેવાતા અને કચેરી દ્વારા બોલાવવામાં ન આવે ત્યાં સુધી અંદર પ્રવેશવા દેવામાં નહીં આવતા સી.એ.ને સીજીએસટી કર્મચારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થયુ હતુ. એક તરફ કેન્દ્ર સરકાર જીએસટી કરદાતા અને સરકારી કર્મીઓ, અધિકારીઓ વચ્ચે સુમેળ સાધવામાં આવે તેવા હેતુથી પગલા ભરવામાં આવે છે, અને વેપારીઓ સાથેનું અંતર ઘટાડવા, ઘર્ષણ નિવારવા માટે અવાર-નવાર આદેશ કરવામાં આવે છે. ઉપરાંત, ભાવનગર સિવાયની સીજીએસટીની રાજ્યમાં આવેલી મોટાભાગની કચેરીઓમાં અરજદારો, ચાર્ટ્ડ એકાઉન્ટન્ટના મોબાઇલ ફોન મુકાવી દેવાનું, ઓફિસમાં પ્રવેશવા નહીં દેવાના કોઇ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. વેપારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રીઓને પણ સીજીએસટી કચેરીના ફરમાન અંગે રાવ ઠાલવવામાં આવી છે. સીજીએસટી ભાવનગર દ્વારા અરજદારો સાથે રાખવામાં આવી રહેલા અંતરને કારણે સમગ્ર રાજ્યમાં તેની ચર્ચાઓ ઉઠી છે.
ગોઝારો અકસ્માત સર્જાયો:ધોલેરા નજીક કાર અકસ્માતમાં પીપળીના આધેડનું મોત નિપજ્યું
અમદાવાદ-ભાવનગર વાયા ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર ધોલેરા મુંડી ગામ પાએ બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા પીપળી ગામના ક્ષત્રિય આધેડનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. પીપળી ગામનો યુવક કાર લઇ ધોલેરા તરફ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક યુ ટર્ન લેવા જતાં પાછળથી આવતી કારનો ધડાકાભેર અકસ્માત સર્જાવા પામ્યો હતો. ધોલેરાના પીપળી ગામના યોગરાજસિંહ ઉર્ફે મુન્નાભાઈ દિલીપસિંહ ચુડાસમા (ઉ.વર્ષ 51) તા.25-11-2025ના રોજ બપોરના સમયે પોતાના ઘરેથી નિકળી ધોલેરા લગ્ન પ્રસંગમા જઈ રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે ઉપર ધોલેરા ગામે હાઈવે ઉપરથી નીચે ઉતરવાનુ ભુલાઈ જતા બપોરના 12 કલાકે ભાવનગર તરફ થોડે દુર મુંડી ગામ પાસે પહોચતા તેમને ધોલેરા હાઈવે ઉપરથી નીચે ઉતરવાનુ યાદ આવતા પોતાની કાર એક્સપ્રેસ હાઈવે ઉપર ઓચિંતા યુ ટર્ન મારતા આ સમયે પાછળથી આવી રહેલ કાર સાથે ટકકરાતા ઈજાગ્રસ્ત યોગરાજસિંહ ચુડાસમાને સારવાર માટે ભાવનગર લઈ જતા સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. આ ક્ષત્રિય યુવક હોટલના વ્યવસાય સાથે જોડાયેલ હતા જેથી આ ઘટનાની જાણ થતા સમગ્ર ભાલ પંથકમા હાહાકાર મચી ગયો હતો.
વેધર રિપોર્ટ:ભેજને લીધે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ ઠંડી જામી નથી
ભાવનગર શહેરમાં નવેમ્બરનું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે પણ હવી શહેરમાં ઠંડીનો ખરો પરચો નગરજનો એક પણ વખત મળ્યો નથી. ભેજનું પ્રમાણ સાંજના સમયે પણ 55 ટકાથી વધુ રહેતું હોય તેથી વાતાવરણ સૂકું ન થતાં તેમજ પવનની દિશા બદલાતા તેમજ પવનની ઝડપ ઘટી જતા ઠંડી તેનો પ્રભાવ પાથરી શકી નથી. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 19 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે રાતના સામાન્ય તાપમાન કરતા 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 19 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 76 ટકા હતુ જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 57 ટકા રહ્યું હતુ. આજે સાંજે પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. શા માટે ઠંડી જામતી નથી ?શહેરમાં પવનની દિશા બદલાઇ છે તેમજ સાથે ભેજવાળું વાતાવરણ ઠંડી જામવા દેતું નથી. ઠંડી માટે વાતાવરણ સૂકું હોવું જરૂરી છે. પરંતુ જો પવનની ગતિ વધુ હોય તો પણ ઠંડા પવન સીધા જમીન પર આવવાને બદલે આગળ વધી જાય છે. જેના કારણે તાપમાનનો પારો ગગડતો નથી.
વામનની વિરાટ સિદ્ધિ:માત્ર 3 ફૂટનો ગણેશ આખરે સરકારી ડોક્ટર બન્યો !
બોલિવુડની બહુ ચર્ચિત ટવેલ્થ ફેઈલ ફિલ્મની સ્ટોરીને પણ આંટી મારે તેવી પોતાના વિધાર્થી જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત દેશના પ્રથમ વામન કદના ડો.ગણેશ બારૈયાની આખરે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં વર્ગ-2માં બોન્ડેડ તબીબી અધિકારી નિયુક્તિ થઇ છે. તળાજા તાલુકાના ખોબા જેવડા ગોરખી ગામે વર્ષ-2004માં જન્મેલા ગણેશ બારૈયાની જન્મજાત વૃદ્ધિ હોર્મોનની ખામીને કારણે ઊંચાઈ ઓછી રહે છે. બહુ જાણીતી ઉક્તિ મન હોય તો માળવે જવાયની કહેવતને વામન કદના યુવાને પોતાની દૃઢતા, અને મહેનતથી સાર્થક કરી બતાવી છે. પોતાના વતન ગોરખી ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ માધ્યમિક શિક્ષણ દેવલી અને વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બીના વિષયો સાથે 87 ટકા ગુણ સાથે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ તળાજામાં લીધું હતું. ધો.12 બાદ નીટની પરિક્ષામાં 223 માર્ક્સ મેળવી તબીબી શિક્ષણ માટે વર્ષ-2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ખુબ જ સામાન્ય પરિવારના ખેડૂત પિતા વિઠ્ઠલભાઇના દીકરીઓ પછીના 8માં સંતાન ગણેશ બારૈયાએ પોતાનું તબીબી શિક્ષણ પૂર્ણ કરી સપનાને હકિકતમાં બદલ્યું છે. તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ એક વર્ષની બોન્ડેડ સેવા સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. મેરિટના આધારે તબીબી અધિકારીઓની નિમણુંકના ત્રીજા તબક્કામાં આજે તેનો ઓર્ડર થયો હતો. વિશ્વ રેકોર્ડ ગણી શકાય તેવી બાબત સાથે ડો.ગણેશ બારૈયાની વર્ગ-2માં માસિક રૂ.75 હજારના પગાર ધોરણ સાથે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં બોન્ડેડ તબીબી અધિકારી તરીકે નિયુક્તિ કરી છે. જે ગૌરવની બાબત ગણી શકાય. ભગવાન ખામીઓની સાથે ખૂબીઓ પણ આપે છેતમે મહેનત કરો તો સફળતા ચોક્કસ મળે છે. ભગવાન ક્યારેક જીવનમાં ઓછું પણ આપે છે ત્યારે ભગવાન ખામીઓની સાથે ખૂબીઓ પણ આપે છે. > ડો.ગણેશ બારૈયા, વામન કદના વિશ્વના પ્રથમ તબીબ જેણે એડમિશન અટકાવ્યું તેણે જ નોકરી આપી !વિજ્ઞાન પ્રવાહમાં 87 ટકા અને નીટની પરિક્ષામાં 223 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ વર્ષ-2018માં તબીબી અભ્યાસ માટે ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ ફોર્મ ભર્યું હતું. જોકે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિકલાંગતાનું કારણ હાથ ધરી પ્રવેશ અટકાવતા મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગણેશે જીત મેળવી હતી. શિક્ષણને જન્મસિદ્ધ અધિકાર માની સુપ્રીમ કોર્ટે તબીબી અભ્યાસ માટે ગણેશના પ્રવેશને માન્ય ગણ્યો હતો.
એસો.ની રજૂઆત:યાર્ન પર MIP લાગશે તો ઉત્પાદકો 2થી 3 ગણો જેટલો નફો ચઢાવી શકે
મીનીસ્ટ્રી ઓફ કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ ડીપાર્ટમેન્ટ દ્વારા પોલિએસ્ટર યાર્ન અને વિસ્કોસ સ્ટેપલ ફાઈબર પર ક્યુસીઓ હટાવામાં આવ્યો છે. ત્યારે હવે નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી અને મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ નાંખવામાં ન આવે તે બાબતે નાયલોન વિવર એસોસિએશન દ્વારા ટેક્સટાઈલ મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. નાયલોન વિવર એસોસિએશનના પ્રમુખ મયુર ચેવલી અને વિવર મયુર ગોળવાલાએ કહ્યું હતું કે, સુરતમાં 1.5 લાખ પાવર લૂમ ચલાવતા 5500 નાયલોન યાર્ન વપરાશ કરતા વિવરો છે. 2 લાખથી વધારે ડાયરેક્ટર રોજગારી આપે છે અને દર મહિને 8 હજાર ટનથી વધારે નાયલોન યાર્નનો વપરાશ થાય છે. જો એન્ટિ ડમ્પિંગ ડ્યુટી અથવા મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ નાંખવામાં આવશે તો ઈન્ડસ્ટ્રીને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મંત્રાલયને આ મુદ્દે રજૂઆતટેક્સટાઈલ મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, ‘ટેક્સટાઈલ મંત્રાલયમાં 6 મહિનામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. નાયલોન સ્પીનર્સ દ્વારા આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ લગાવવા અંગેની સરકારમાં કરેલ રજુઆતો ગેરવ્યાજબી છે. વળી નાયલોન સ્પીનર્સ તરફેથી સરકારમાં ખોટા ડેટા રજુ કરી નાયલોન યાર્નની આયાતથી તેઓને પોતાના વેપાર ધંધામાં નુકસાન, ખોટ કે ઈન્જરી થઈ રહેલ છે તેવું જણાવી ગેરમાર્ગે દોરાવામાં આવી રહ્યાં છે. આમ નાયલોન સ્પીનર્સો દ્રારા આયાતી નાયલોન યાર્ન ઉપર બ્રેક લગાવી 2 થી 3 ઘણો નફો પ્રતિ કિલોએ વધારે લેવાનો તથા નાયલોન યાર્ન બજારમાં મોનોપોલી ઊભી કરવાનો ઇરાદો છે. જેથી નાયલોન યાર્ન પર એન્ડિ ડમ્પિંગ ડ્યુટી અને મીનિમમ ઈમ્પોર્ટ પ્રાઈઝ લગાવવામાં ન આવે.
ગુજરાતથી 4500 કિ.મી દૂર આફ્રિકાના ઇથોપિયામાં ફાટી નિકળેલ જવાળામુખીની રાખ-વાદળ ની સામાન્ય હળવી અસરો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં રાખ પહોંચવાની શરૂઆત થઇ હતી. આ રાખ-વાદળ મુખ્યત્વે ખૂબ ઊંચા હવામાન સ્તરોમાં હતી એટલે દિવસભર ધૂધળું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત એરપોર્ટ ખાતે સવારે 8થી સાડા અગ્યિાર વાગ્યાના અરસામાં વિઝિબિલિટી માત્ર 1 હજાર મીટર થઇ ગઇ હતી. બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ભાસ્કર એક્સપર્ટધુમ્મસ, ઓછી વિઝિબિલિટી, સામાન્ય ધૂળની અસર દેખાઈસાથે ઉત્તર-પશ્ચિમના પવનો ચાલતાં હોવાથી ધૂમાડા-ભેજવાળા પવનો મળતા સ્મોકની પણ અસર સતત બે દિવસથી જોવા મળી છે. હવામાનમાં જવાળામુખીની રાખ-વાદળોની આંશિક અસર સાથે ધુમ્મસ, ઓછી વિઝિબિલિટી, સામાન્ય ધૂળની અસર દેખાઇ રહી છે. > ધર્મેન્દ્ર પટેલ, હવામાનશાસ્ત્રી
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. લ્યો બોલો... એક પોલીસકર્મીએ PIનું જ લાખોનું કરી નાખ્યુંઅમદાવાદમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા એક મહિલા ડીસીપીની ભલામણના કારણે તેમના સમાજના પોલીસકર્મીને એક પીઆઇનો કારોબાર મળ્યો હતો. શહેરના એક જ બિલ્ડિંગમાં ચાલી રહેલા બે પોલીસ સ્ટેશન પૈકી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પોતાના સમાજના ડીસીપીની મદદથી કારોબાર મેળવ્યા બાદ તક મળતા જ પીઆઇની મોટી રકમ લઈને ફરાર થઈ ગયો છે. પોતાને નુકસાન થયું હોવાનું બહાનું બતાવીને પોલીસકર્મીએ પીઆઇના લાખો રૂપિયાની ઉચાપત કરી છે. જોકે, ડીસીપીની બદલી આવી જતાં હવે પોલીસકર્મી કોઇને ગાંઠતો જ નથી. પોતાના માનીતા અધિકારીઓને સાચવવા પોલીસકર્મીની બેફામ પૈસાની ઉઘરાણીથોડા સમય અગાઉ જ બદલી થઈને અમદાવાદમાં આવેલા જે અગાઉ બિટકોઇન અને આપઘાત કેસથી વિવાદમાં આવ્યા હતા તે અધિકારી હાલમાં સાઈડ પોસ્ટિંગ પર છે. તેમનો અંગત પોલીસકર્મી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. આ પોલીસકર્મી પર અધિકારીનો હાથ હોવાથી ત્રાસ મચાવતા હોવાની ચર્ચા છે. પોતાના માનીતા અધિકારી અને પીઆઇને ખુશ કરવા ટ્રાફિક કર્મચારીઓને પોઇન્ટ પ્રમાણે ટાર્ગેટ આપી ઉઘરાણી શરૂ કરી છે. પોલીસકર્મી પોતે પણ ઇન્ડસ્ટ્રી વિસ્તાર અને રિંગ રોડ પર ફરજમાં હાજર રહે છે, ત્યારે બેફામ પૈસાની ઉઘરાણી કરે છે. આ ઉઘરાણીમાંથી પોતાના પીઆઇ અને ઉચ્ચ અધિકારીને સાચવે છે. એટલું જ નહીં વડી કચેરીના એક પીઆઇ માટે પણ આ પોલીસકર્મી કામ કરે છે. જેથી વધુ ખુલ્લો દોર મળતા જ પોલીસકર્મીનો ત્રાસ વધ્યો છે. જેનાથી અન્ય પોલીસકર્મીઓ કંટાળી ચૂક્યા છે. આ પોલીસકર્મીના કરાણે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા તોડની ઘટના બને તો નવાઈ નથી. દારૂના વિવાદમાં એક PI સસ્પેન્ડ થયા તો એજ પોલીસ સ્ટેશનમાં બીજા PIને વિજય મળ્યોશહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના કારણે એક પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું હતું. જેમાં એક પીઆઇએ લેખિતમાં હવે દારૂ નહીં વેચાય તેવી બાહેંધરી આપી હતી. જે બાદ પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તે જગ્યાએ આવેલા નવા પીઆઇને તે પોલીસ સ્ટેશનમાં વિજય મળ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવ્યું ત્યારથી અગાઉના જે વિવાદ થાય તે માટે એક પોલીસકર્મી રાખ્યો છે. પીઆઇ એટલા માટે વિજયી થયા છે. કારણકે દર મહિને પીઆઇના અંગત માણસને ઝોનના અન્ય પીઆઇ પણ મળી જાય છે. પીઆઇની જવાબદારી સાથે તેના અંગત માણસે બાકીના 6 પોલીસ સ્ટેશનની પણ એક મોટી જવાબદારી સ્વીકારી છે. એક ઇમાનદાર IPS અધિકારીના પોલીસ સ્ટેશનમાં PSIએ કમાણીની ધૂણી ધખાવીએક ઈમાનદાર IPS અધિકારીની કચેરીના PSIને અન્ય PSI ટ્રેનિંગમાં હોવાને કારણે એટેચમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. આ PSIને એટેચમાં ફરજ બજાવવાની એટલી મજા આવી છે કે હવે તે જગ્યા પરના મૂળ PSI આવી ગયા હોવા છતાં તેઓ છૂટ થયા નથી. IPS અધિકારી તો ઇમાનદાર છે પરંતુ આ પીએસઆઇ IPSના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં ખુબ કમાણી કરી છે. પોતાની મૂળ ફરજ અન્ય જગ્યાએ હોવા છતાં હવે તેઓ ત્યાંથી નીકળવા નથી માંગતા. એક જ જગ્યાએ 2 PSI આવી ગયા છે જેથી આગામી સમયમાં બદલી આવે તેની PSI રાહ જોઈ રહ્યા છે. PSIના કારણે તેમના ઝોનના અન્ય પીઆઇ પણ કંટાળી ચૂક્યા છે. PIને સાચવવા એક પોલીસકર્મીની નોકરીના સ્થળને બદલે અન્ય જગ્યાએ ખડેપગે સેવાપૂર્વના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી નોકરી જે પોલીસ સ્ટેશનમાં છે ત્યાં હાજર નથી રહેતા, પરંતુ મેગા ડિમોલેશન જ્યાં ચાલી રહ્યું છે ત્યાં સતત હાજર રહે છે. પોતાની નોકરીનું સ્થળ ન ગમતું હોવાથી અન્ય પીઆઇને સાચવવા માટે નોકરીથી અન્ય જગ્યાએ જઈને ખડેપગે સેવા આપી રહ્યા છે. પોતાના પોલીસ સ્ટેશનમાંથી નોકરી પણ એ રીતે સેટ કરી દીધી છે કે જ્યારે બંદોબસ્ત હોય ત્યારે જ માત્ર હાજર રહેવાનું બાકીના સમય પર મેગા ડિમોલેશનના વિસ્તારમાં પીઆઇ સાથે હાજર રહે છે. પોલીસ સ્ટેશન પાછળ જ દારૂનો અડ્ડો ધમધમતો છતાં પીઆઇ નિષ્ક્રિયઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય રોડ પર આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રહે છે, ત્યાં પોલીસ સ્ટેશનની પાછળ જ ઝૂંપડપટ્ટીમાં દારૂના વેપારથી જૈન સમાજના લોકો હેરાન થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનથી બેરેજ જવાના રસ્તે અનેક લોકો હેરાન થાય છે. કેટલાક લોકોએ રજૂઆત કરી છે, પરંતુ પ્રમોશનની રાહમાં બેઠેલા પીઆઇ આ મામલે નિષ્ક્રિય છે. જેના કારણે બુટલેગર બેફામ બન્યા છે અને જૈન સમાજના લોકો રોષે ભરાયા છે. એક મહિલા અધિકારીના બે માણસો એવા સેટ થયા કે આખા શહેરમાંથી કવર ઉઘરાવી આવેઅમદાવાદમાં આવેલા એક મહિલા અધિકારીએ પોતાના અંગત કામ માટે દૂરના જિલ્લામાં બેઠેલા એક પોલીસકર્મીનો સંપર્ક કર્યો છે. પોલીસકર્મીએ મહિલા અધિકારી માટે 2 માણસોની વ્યવસ્થા કરી દીધી છે. 2 માણસો મહિલા અધિકારીના તમામ કામ કરી આપે છે. મહિલા અધિકારી આદેશ કરે ત્યારે અડધું અમદાવાદ ફરીને બે પોલીસકર્મીઓ તેમના માટે કવરની વ્યવસ્થા પણ કરી લે છે. મહિલા અધિકારીને માણસોની વ્યવસ્થા કરી આપનાર પોલીસકર્મીએ રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચા પોલીસ વિભાગમાં ચાલી રહી છે.
રાજકોટના આંગણે પ્રથમ વખત ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાશે. આ માટે DGPની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના કરવામાં આવી છે અને હાલ આ ટૂર્નામેન્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ હોકી ચેમ્પિયનશિપના રજિસ્ટ્રેશનની અંતિમ તા. 28 નવેમ્બરરાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોકી ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જે માટે અંતિમ તારીખ 28 નવેમ્બર છે. રાજકોટમાં પ્રથમ વખત આયોજન થતાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બરે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય ઓપનિંગ સેરેમનીઆ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા ઝીણવટભરી બાબતો આવરી લઈ પુરજોશમાં તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. તા. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:30 વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. 15 ડિસેમ્બરે ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશેઆ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન પણ કરાશે. જ્યારે તા. 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં શા માટે રાજકોટની પસંદગી કરાઈરાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવા પાછળ પણ એક મહત્ત્વનું કારણ છે. વર્ષ 2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકૂલમાં અંદાજીત 5 કરોડથી વધુના ખર્ચે હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. જેને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવ્યું હોવાથી હોલેન્ડથી આવેલા નિષ્ણાંતોએ હોકી ગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ તેને ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે. ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કીલ બંને મળી રહે છે.
જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય જિગર ઠક્કરે ફરી એકવાર શહેરનું નામ રોશન કર્યું છે. ભારતીય ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેફ ઇન્ડિયા સ્ક્વાડમાં જિગરની પસંદગી થવાથી તેમના પરિવાર તથા સૂરત શહેરમાં ખુશીની લહેર છવાઈ છે. ફિટનેસ અને સ્કિલ પર ખાસ ફોકસકુલ 14 ખેલાડીઓ સાથે જિગર UAE T201 ડેફ સિરીઝમાં ઉત્તમ પ્રદર્શન માટે તૈયાર છે. આ માટે તેમને 10 દિવસના ખાસ ટ્રેનિંગ કેમ્પનો લાભ મળ્યો છે. UAE T201 ડેફ સિરિઝમાં ભારતના જીતવાના સંકલ્પ માટે 3 મહત્વપૂર્ણ T201 મેચનું આયોજન થનાર છે. જે 11 થી 13 ડિસેમ્બર દરમિયાન UAE માં દુબઇ ડેફ સાથે રમાશે. તેઓ ફિટનેસ અને સ્કિલ પર ખાસ ફોકસ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 80 થી 100 રાજ્ય તથા રાષ્ટ્રિય સ્તરની મેચો રમી છે. જેમાં 2022માં તેઓ નેશનલ વિજેતા,2023માં થર્ડ રનર અપ અને અનેક સ્ટેટ લેવલ ટ્રોફીઓ પોતાના નામે કરી છે. સૌથી મોટું ચેલેન્જ રાજ્ય સ્તરે રમતા રમતા નેશનલ લેવલ સુધી આગળ વધવાના દબાણનું હતુંજિગરે 12મું ધોરણ પૂરું કર્યું છે. તેમના પરિવારના દરેક સભ્યો ડેફ હોવાથી ઈશારાઓ અને વિઝ્યુઅલ દ્વારા જિગરની સમજ અને રમત બંને વધુ મજબૂત બન્યા છે. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે આકર્ષણ હતું અને છેલ્લા 12થી 13 વર્ષથી તેઓ નિયમિત ક્રિકેટ રમી રહ્યા છે. 2009થી ડેફ ક્રિકેટના સફરની શરૂઆત થઈ હતી. જિગરે સૌથી પહેલાં 2009માં ડેફ ક્રિકેટ સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે મારા જેવા જ લોકો સાથે રમવાનો આત્મવિશ્વાસ અને કનેક્શન કંઈક અલગ જ હતું. શરૂઆતમાં સૌથી મોટો ચેલેન્જ રાજ્ય સ્તરે રમતા રમતા નેશનલ લેવલ સુધી આગળ વધવાના દબાણનો હતો. તેમના કોચ નવનીતભાઈ અને કૃણાલ પટેલ તેમને સતત પ્રેરણા આપતા રહ્યા છે. મળેલા નિષ્ફળતાઓમાંથી શીખીને વધુ મહેનત કરી તેઓ ટીમના સૌથી મજબૂત ખેલાડી બન્યા છે. IDCA દ્વારા જાહેર કરાયેલા ડેફ ઇન્ડિયા ટીમમાં સામેલ થવું મારા માટે ગૌરવનું પળ હતું. મારું નામ પસંદગીમાં જોયું ત્યારે ગર્વ અને આનંદનો સાથે અનુભવ થયો હતો. હું ટીમમાં ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવું છું અને બેટિંગ–બોલિંગ બંને મારી સ્ટ્રેન્થ છે. ડેફ ક્રિકેટને વધુ મજબૂત બનાવવા માંગું છુંહાલ હું ગુજરાત ડેફ ક્રિકેટ ટીમનો કેપ્ટન અને એક બેટિંગ ઓલરાઉન્ડર છું. મારા માટે ક્રિકેટ માત્ર એક રમત નહી, મારા જીવનની ઓળખ, ભાવના અને મારા સફરના દરેક પડાવની શક્તિ છે. ડેફ પરિવારમાં જન્મેલો હોવાને કારણે ક્રિકેટ મારા માટે સપનું પણ હતું અને સંઘર્ષમાંથી બહાર આવવાનો રસ્તો પણ. પરંતુ મારી સફર સરળ નહોતી. મારા પિતા દરજી હોવાથી તેઓ ક્રિકેટનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા. મેં સાડીની દુકાનમાં નોકરી કરી અને કોચિંગની ફી જાતે ભરી હતી. 2012માં મેં પ્રથમ વખત ગુજરાતની ટીમ માટે ડેફ નેશનલ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યું. વર્ષો સુધી અનેક રાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં રમ્યો અને 2016માં ઇન્ડિયન નેશનલ સિલેક્શન કેમ્પ સુધી પહોંચ્યો. પરંતુ 2017માં મારા પિતાનું અવસાન થતા પરિવારની જવાબદારીઓનું ભારણ મારા ખભા પર આવતા હું 3 વર્ષ ક્રિકેટથી દૂર રહ્યો. ત્યારબાદ 2020માં ગુજરાત ટીમના કેપ્ટન તરીકે મેં ફરી વાપસી કરી. મારું અંતિમ લક્ષ્ય ડેફ ઇન્ડિયા ટીમમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. વિશ્વ સમક્ષ ભારતનો તિરંગો લહેરાતા જોવું એ જ મારા માટે સૌથી મોટું બિરુદ છે. GDCAના જ્વોઇન્ટ સેક્રેટરી તરીકે હું ડેફ ક્રિકેટને વધુ મજબૂત બનાવવા માંગું છું. - જિગર ઠક્કર
ભાસ્કર નોલેજ:ડભોઇથી દેવલિયાના હાઇવે પર એન્ટિ ગ્લેર બોર્ડ લગાવાયાં
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વડોદરા અને ભરૂચ તરફથી આવતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ડભોઇ- દેવલિયાના 30 કિમીના માર્ગનું પેચવર્ક કરીને રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી ને જોડતા ડભોઇ- તીલકવાડા- દેવલીયા ચાર માર્ગીય રસ્તાની રીસરફેસીંગની કામગીરી રાજયના માર્ગ અને મકાન વિભાગની રાજપીપળા કચેરી તરફથી શરૂ કરવામાં આવી છે. ડભોઇ, દેવલીયા અને તિલકવાડા સહિતના જિલ્લાના મહત્વના સ્ટેટ હાઇવે છે.જે ચોમાસામાં વરસાદમાં ખૂબ મોટા ખાડા પડી ગયા હોવાથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામાનો કર્યો હતો. વરસાદે વિરામ લેતાં હવે રસ્તાઓના રીપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત વસાવાએ જણાવ્યું હતું કે, ડભોઇથી દેવલિયા સુધીના રસ્તા પર ખાડાઓ પુરવામાં આવ્યાં છે તેમજ અકસ્માતો નિવારવા માટે રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના કારણે અકસ્માતના બનાવોને અટકાવી શકાશે. સામેથી આવતાં વાહનોનીલાઇટથી આંખ અંજાતી નથીપહેલાંના સમયે રસ્તાની વચ્ચે આવેલાં ડીવાઇડરો પર વૃક્ષો ઉછેરવામાં આવતાં હતાં જેથી સામેથી આવતાં વાહનોની લાઇટથી આંખોને અંજાતી બચાવી શકાય પણ હવે તેના સ્થાને પ્લાસ્ટિકના બોર્ડ મારવામાં આવે છે જેને રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ કહેવામાં આવે છે. દર 2 મીટરના અંતરે એક બોર્ડ મારવામાં આવે છે જેના કારણે સામેથી આવતાં વાહનોની લાઇટનો પ્રકાશ બીજી તરફથી આવતાં વાહનચાલકની આંખમાં પડતો નથી જેના કારણે તેની આંખો અંજાતી નથી. આના કારણે આંખો અંજાઇ જવાના કારણે થતાં અકસ્માતોને નિવારી શકાય છે.
ભાસ્કર ઇનસાઇડ:જુગાર અને પૈસા ઉડાડવાવાળા કારીગરે શેઠની હત્યા કરી
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આર્શીવાદસોસાયટીમાં રહેતાં મુળ રાજસ્થાનના કેટરર્સનીહત્યામાં સંડોવાયેલા બે પૈકી એક કારીગરને એડિવિઝન પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો છે.આરોપી જુગાર રમવાની તથા પૈસા ઉડાડવાનીટેવવાળો હોવાથી તેણે પૈસા માટે અન્ય કારીગરનીમદદથી તેના જ શેઠની હત્યા કરી ઘરમાંથીસોનાચાંદીના દાગીના તથા 9.50 લાખ રોકડા સહિત14 લાખથી વધુ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આરોપીકમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્માનેબુધવારના રોજ આર્શીવાદ સોસાયટીમાં બનાવનાસ્થળે રીકન્સટ્રકશન માટે લઇ જવાયો ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાના રીકન્સટ્રકશન બાદ આરોપીને પોલીસની જીપમાં બેસાડવામાં આવી રહયો હતો ત્યારે ટોળામાંથી પરિવારના સભ્યએ તેને તમાચોપણ મારી દીધો હતો. આ કેસમાં ફરાર અન્યઆરોપીને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.ઝડપાયેલો આરોપી કમલાપ્રસાદનો સાગરીત જુગારરમવાની તથા પૈસા ઉડાડવાની ટેવવાળો હોવાથી દેવુંથઇ ગયું હતું અને તેને પૈસાની જરૂર હોવાથી તેનામાલિકના ઘરે જ લૂંટ કરવાની યોજના બનાવી હતી.મૃતક પ્રકાશ માલી નવું ઘર બનાવી રહયાં હોવાથીતેમના ઘરમાં લાખોની રોકડ રકમ હોવાની જાણહોવાથી તેણે આ યોજના ઘડી હતી. મૃતકનાપરિવારજનો રાજસ્થાન ગયાં ત્યારે ભેગા થઇને પ્રકાશમાલીની હત્યા કરી નાખી હતી. આ કેસમાં છોટકઉ ઉર્ફેનફીસ ઉર્ફે સલીમ સદલુને ઝડપી પાડવાની કવાયતચાલી રહી છે. આખી તપાસ એ ડિવિઝન પોલીસ તથાએલસીબીની ટીમ તરફથી કરવામાં આવી હતી. પૈસાની જરૂર હોવાથી હત્યાની યોજના ઘડી : ઘરમાંથી 9.50 લાખ રોકડા સહિત 14.55 લાખની લૂંંટ કરીફિલ્મી ઢબે એક આરોપી ઝડપાયોઃ પોલીસને મળી આવેલીચોક્કસ બાતમી પરથી એ ડિવિઝનના પીઆઈઆર.એમ.વસાવાએ તેમની ટીમના પીએસઆઇ સહિત ચારસભ્યોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનૌવ રવાનાકર્યા હતાં.લખનૌ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ 180 કિમીદૂર મોટરમાર્ગથી આરોપીના વતનના ગામમાં દરોડો પાડયોહતો. સ્થાનિક પોલીસની મદદથી આરોપી કમલાપ્રસાદનેઝડપી લેવામાં આવ્યો હતો. તેને બેહરાઇચની કોર્ટમાં રજૂકરી ટ્રાન્સઝીસ્ટ વોરંટથી ભરૂચ લાવવામાં આવ્યો હતો.આરોપીને ભરૂચની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના 12દિવસના રીમાન્ડ મંજૂર કરાયાં છે. અમારા આખા પરિવારને ખતરો છેપિતાની હત્યા કરી ભાગી ગયેલાં બે આરોપી પૈકી એકનેપોલીસે ઝડપી પાડયો છે. મારા પપ્પાને બાંધી થઇને તેનામોઢામાં બટાકુ નાખી દીધું હતું અને બાદમાં ત્રણથી ચારવખત ચા પીવડાવી હતી.. કોઇ દવા નાખીને પિતાની હત્યાકરી છે. આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મારાઘરમાં હવે ખાલી નાનો ભાઇ જ રહ્યો છે. અમારા પરિવારનેજીવનો ખતરો છે. > દુર્ગા માલી, મૃતકની દીકરી રીકન્સ્ટ્રકશન વખતે આરોપીને લાફો ઝીંકાયો, પરિવારનો વલોપાતપત્ની : મારા પતિ તમારા બધાનું પુુરૂ પાડતા હતાં, મહેનત કરવાવાળો માણસ હતોપત્ની : તને હું મારો ભાઇ માનતી હતી અને તે જ દગો કર્યો, તે ખૂબ મોટુ પાપ કર્યું છેપત્ની : મને એને ( આરોપી)ને મારવા દો, તો જ અમને શાંતિ મળશેપુત્રી : મારા પપ્પા હતાં, મારા પપ્પા જતાં રહયાં, હું હવે તને મારી નાખીશ, એને ફાંસી આપોપત્ની અને પુત્રી : એને ( આરોપી)ને ઘરની બહાર કાઢો, અમને એને મારવા દોસંબંધી : સાહેબ, એને ઘરની બહાર કાઢો, અને ફાંસો આપો, અમને ન્યાય મળવો જોઇએ ચા માં નશીલી દવા આપી,મોઢામાં બટાકુ નાખી દીધુંપ્રકાશ માલીનો પરિવાર વતનમાંગયો હોવાથી તેઓ ઘરમાં એકલાહતાં. બંને કારીગરો તેમનાઆર્શીવાદ સોસાયટીમાં આવેલાંઘરમાં ગયાં હતાં. તેમણે પ્રકાશમાલીને બંધક બનાવી દીધાં હતાંઅને તેઓ બુમો ના પાડે તે માટેતેમના મોંમા બટાકો નાખી દીધોહતો. બાદમાં ત્રણથી ચાર વખતનશીલી દવા નાંખેલી ચા પીવડાવીહતી. ચા પીધા બાદ પ્રકાશ માલીબેભાન થઇ ગયાં હતાં. બાદમાંતેમની ગળુ દબાવી હત્યા કરીનાખવામાં આવી હતી. હત્યા બાદબંને આરોપી ઘરમાંથી 9.50 લાખરોકડા તથા સોનાચાંદીના દાગીનામળી 14 લાખથી વધારેની લૂંટકરીને પ્રકાશ માલીની જ ઇકો કારલઇને ભાગી ગયાં હતાં. આ ઇકોકાર વડોદરા નજીકથી બિનવારસીહાલતમાં મળી આવી હતી.વડોદરાથી બંને લકઝરી બસમાંવતન ઉત્તરપ્રદેશ ભાગી ગયાં હતાં.
કામદારોની પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે:સચિન GIDCમાં 24 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ શરૂ
સચિન જીઆઇડીસીમાં વર્ષ 1990 બાદ ઉદ્યોગો સ્થપાવાનું શરૂ થયું હતું. જે સમયે ઉદ્યોગોની અને કામદારોની સંખ્યા ઓછી હતી. જે તે સમયે પીવાના પાણીની લાઇન માટે પીવીસી તથા કાસ્ટીંગ પાઈપોનો ઉપયોગ કરાયો હતો. આમ હયાત લાઇન 35 વર્ષ જુની અને જર્જરીત હોવાથી ઉદ્યોગકારોને પુરતા પ્રેશરથી પાણી મળતું નહતું અને ખાસ કરીને વસાહતમાં આવેલ આઇ ઝોન તથા સરદાર વલ્લભભાઈ પટેલ ઝોનમાં મોટાભાગના એકમોમાં કામદારો માટે પીવાના પાણીની કાયમીધોરણે સમસ્યા રહેતી હતી . જેથી પાણીની સમસ્યાના નિવારણ માટે તથા સુવિધા સુધારવા માટેના મહત્વકાંક્ષી ડ્રિંકીંગ વોટર પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ કરવાનું નકકી કર્યુ. જે કામગીરી અંદાજીત 6માસમાં પૂર્ણ થશે. સમગ્ર પ્રોજેક્ટને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. જેમાંથી નોન-કેમિકલ ઝોનમાં પ્રથમ તબકકાનું કામ શરૂ થઇ ગયું છે.
કોરોનાના સમયમાં માસ્કના એડવાન્સ રૂપિયા લઈ તેનું પેમેન્ટ નહીં આપી બાદમા ચેક પણ બાઉન્સ કરાવી છેલ્લાં પાંચ વર્ષથી ભાગતા ફરતા આરોપી અરવિંદ જીવરાજ ભાયાણીને આજે પોલીસે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામા આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ નરેશ ગોહિલે દલીલો કરી હતી. આરોપી અરવિંદ ભાયાણી છેલ્લા સતત પાંચ વર્ષ સુધી ભાગતો રહ્યો હતો અને પોલીસ કે ફરિયાદી જયારે પુછપરછ કરવા જતા હતા તો આરોપી અરવિંદ ભાયાણીની પત્ની પણ એમ કહેતી હતી કે તે સંપર્કમાં નથી, મોબાઇલ પણ બંધ છેે આવો જ જવાબ મકાન માલિક પણ આપતો હતો. આખરે પાંચ વર્ષ બાદ એક સી.એ.નો સંપર્ક કરીને આરોપીનો પાનકાર્ડ ચેક કરવામા આવતા તેણે અંકલેશ્વરની એક બેન્કમાંથી 3.50 કરોડની લોન લીધી હોવાનુ સામે આવ્યુ હતુ અને ચોંકાવનારી બાબત એ હતી કે બેન્ક ગેરેન્ટર તરીકે તેની આરોપી પત્ની જ હતી. આથી સમગ્ર બાબતે પોલીસ કમિશનરને જાણ કરાતા તેઓએ ઉત્રાણ પોલીસને આદેશ આપતા આજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ચેક બાઉન્સમાં મિલકતો હરાજી કરીને પણ રિકવરીસુરત આર્થિક પાર્ટનગર છે અને હજારો કેસ જયાં પેન્ડિંગ છે ત્યાં જેમના રૂપિયા ફસાયા છે તેઓને ન્યાય મળે માટે કેટલાક કેસમાં કોર્ટ મિલકતોની હરાજી કરીને ફરિયાદીનું ચૂકવણુ કરવાના આદેશ કરે છે. જેમાં આરોપી મળતા નથી તેમાં ફરિયાદી પર કેસ ચલાવવા આરોપીને શોધવો પડે છે. નહીં તો કેસ રદ થવાની સંભાવના રહે છે. આરોપીના 27.92 લાખના ચેક બાઉન્સ થયા હતાકોરોનામાં ફરિયાદીએ એન-95 સહિતના માસ્ક મંગાવવા માગતા હતા ત્યારે આરોપી અરવિંદ ભાયાણીએ સંપર્ક કરીને માસ્ક જોઈતા હોય તો એડવાન્સમાં રુપિયા આપવા પડશે કહેતા ફરિયાદીએ 27.92 લાખ આપ્યા હતા. થોડા દિવસ બાદ જથ્થો નહીં આપતા આરોપીએ બે ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કેસને પણ 5 વર્ષ થઈ જતા કોર્ટે ફરિયાદીને કેસ કાઢી નાંખવાની સૂચના આપી હતી.
રૂપિયા ચાર હજાર કરોડના બોગસ બિલિંગના કેસના આરોપીએ હાર્ટ સર્જરી કરાવવાની હોવાનું કારણ આગળ ધરીને કરેલી વચગાળાની જામીન અરજી ઇન્ચાર્જ ચીફ જ્યુડિ.મેજિસ્ટ્રેટ મનીષ વી. ચૌહાણ દ્વારા નામંજૂર કરવામા આવી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપી દસ વર્ષથી હ્રદય રોગની બિમારીથી પિડાઈ છે અને હાલ તે સિવિલમાં છે અને પ્રાઇવેટમાં શીફ્ટ કરવાની તાતી જરૂરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ હતુ કે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી શકાય તેમ નથી તેવી કોઈ હકીકત જણાઈ આવતી નથી આ સંજોગોમાં આરોપીના વકીલની દલીલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવવી ખૂબ જ જરૂરી છે તે માની શકાય નહીં. કેસની વિગત મુજબ ડીજીજીઆઇએ રૂપિયા 90 કરોડથી વધુની આઇટીસ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લેવાના કેસમાં આરોપી હિમાંશુ રજનીકાંત શાહની સપ્ટેમ્બર-2025ના રોજ ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપીની તબિયત લથડતાતેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જ્યાં હાલ આરોપી આઇસીયુમાં દાખલ છે. જામીન અરજીમા આરોપીએ દલીલ કરી હતી કે તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડે એમ છે,છેલ્લા દસ વર્ષથી હ્રદયની બિમારથી પિડાઈ છે. આરોપીને ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર છે. ભાસ્કર એક્સપર્ટ4 હજાર કરોડના બોગસ બિલિંગમાં હિમાંશુ શાહની ધરપકડ કરાઇ હતીકોઈપણ આરોપી જ્યારે મેડિકલના ગ્રાઉન્ડ પર જામીન માગે ત્યારે જામીન માટે એક તો જેલરનો રિપોર્ટ અને બીજો સારવાર કરનારા ડોકટરનો રિપોર્ટ જરૂરી બની જાય છે તેના જ આધારે આગળના નિર્ણય થાય છે. જો સરકારી હોસ્પિટલથી આરોપીને ખાનગીમાં શિફ્ટ કરવા હોય તો સરકારી હોસ્પિટલમાં સારવાર શક્ય નથી એવો કોઈ રિપોર્ટ છે કે કેમ એ પણ જોવામાં આવે છે. > નદીમ ઇસ્માઇલ ચૌધરી, એડવોકેટ
શોકનો માહોલ:દહેજની અર્થવ શેષ કોલોનીમાં ટ્રકની ટક્કરે ભાઇ- બેનના મોત
ભરૂચ જિલ્લામાં દહેજ વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેજ જીઆઈડીસીમાં આવેલી અથર્વ શેષ એન્વાયરો કોલોનીમાં 24મી નવેમ્બરના રોજ સવારે કોન્ક્રીટ મિલર મશીને ભાઇ- બહેનને કચડી નાખતાં તેમના મોત થયાં હતાં. કડિયા કામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમતા હતા, એ દરમિયાન બેફામ રીતે કોન્ક્રીટ મિલર મશીન હંકારતા બંને બાળકો તેનું ભોગ બન્યા હતા. બાળકોને કચડી નાખ્યા બાદ આરોપી ચાલક શેમ્પુ ભરતી મશીન લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફરિયાદીએ કોન્ટ્રાકટરને ફોન કરતાં તાત્કાલિક આવી ગયા હતા. રાત્રિના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દહેજ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. પોલીસએ ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી ચાલકને ઝડપી લેવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. મૃત બાળકોના પરિવાર પર શોકનો માહોલ વ્યાપી ગયો છે. ફરિયાદી મૂળ જાંબુઆ મધ્ય પ્રદેશ જ્યારે આરોપી સોનભદ્ર જિલ્લાના રહેવાસી છે. મૃતકોની ઓળખ વર્ષીય રમીલા અને 1 વર્ષીય વૈદિક તરીકે થઇ હતી.
ઓનલાઈન કામગીરી:આંગણવાડીના ભૂલકાઓ તો ઠીક અમારા બાળકો પણ રખડી ગયાં છે, કંઇ કરો હવે
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી બીએલઑની કામગીરી દરમિયાન આંગણવાડી બીએલઓને ઘણી તકલીફ પડી રહી છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે બીએલઓ સાથે વાતચીત કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, કેટલીક આંગણવાડી બીએલઓને જાણ કર્યા વગર હુકમ કરી દેવામાં આવ્યા હતા. અને કેવી રીતે કામગીરી કરવી તે પણ ખબર પડતી નથી. ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરતા પણ આવડતું નથી. કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે ઓનલાઇન કામગીરી માં અંગ્રેજીમાં કેટલીક માહિતી ભરવાની હોય છે તેમાં સમજ પડતી નથી. જેથી કામગીરીની ટકાવારી પણ ઓછી દેખાય છે. એક બીએલઓએ જણાવ્યુ હતું કે, લોકોને ફોર્મ ભરવામાં સમજ નથી પડતી જેથી લોકો અમારી પાસે ભરાવે છે અને કહે છે કે આ કામ તમારું છે. કામગીરી દરમિયાન જમવાનો પણ સમય મળતો નથી આંગણવાડી ના છોકરા તો ખરા પણ અમારા છોકરા પણ રખડી રહ્યા છે. વાલીઓ પણ અમને ફરિયાદ કરે છે કે આંગણ વાડીમાં અમારે આંગણવાડી બહેનને શોધવા આવવું પડે છે. આંગણવાડીમાં કોઈ નથી આવતા એટલે બાળકોને કોના ભરોસે મૂકવું તેવું વાલીઓ અમને કહી રહ્યા છે. તેથી આ બીએલઓની કામગીરી શિક્ષિત બેરોજગારો ને આપવી જોઈએ જેથી તેઓને રોજગારી પણ મળે તેવું જણાવ્યુ હતું. જાણ કર્યા વિના બીએલઓનાહુકમ આપી દેવામાં આવ્યાંમને કોઈ પણ જાણ કર્યા વિના બીએલઓના હુકમ આપી દેવામાં આવ્યા હતા. અને આ કામગીરી વિશે કશું પણ જાણતા નથી. પણ હવે સવારથી રાત્રિ સુધી કામગીરી કરવી પડે છે અને લોકોને ફોર્મ ભરતા નથી આવડતું તો તેથી મારે ફોર્મ ભરવા પડે છે. બીએલઓની કામગીરી દરમિયાન જમવાનો પણ સમય મળતો નથી હાલ આંગણવાડી ના છોકરા તો ખરા પણ અમારા છોકરા પણ રખડી ગયા છે.
પાલિકાકર્મી સામે ગુનો નોંધાઈ:બોગસ ડોક્યુમેન્ટ્સથી લોન લેનાર પાલિકાકર્મી સામે ગુનો
મજુરાગેટની SBI શાખામાં ખોટી પગાર સ્લીપ અને બોગસ એનઓસીથી 9.14 લાખની લોન લેનાર પાલિકાની મહિલા કર્મી સામે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાની રહેવાસી શીતલ રમેશ સોલંકી સુરત પાલિકામાં સફાઇ કર્મી છે. 2024માં તેણે મજુરાગેટની એસબીઆઇમાંથી પાલિકાની પે સ્લિપ અને બેંક ઓફ બરોડા વિજલપોરની NOCના આધારે 9.14 લાખની લોન લીધી હતી. બાદમાં બદલી થઇ મેનેજર તરીકે સુલતાકુમારી આવતા ઓડીટ દરમિયાન બોગસ ડોક્યુમેન્ટસથી લોન લીધાનું ખુલ્યું હતું. જેથી તેમણે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનિય છેકે, આ કૌભાંડ ખુલતા શીતલે બેંકમાં લોન ભરી દીધી હતી. જોકે બેંક સાથે છેતરપિંડી થઇ હોવાને લીધે શીતલ સામે ફરિયાદ નોંધાઇ હતી. શીતલે SBIમાંથી 9 લાખની લોન લીધી હતીશીતલે બેંકમાં જુલાઇ 2023થી નવેમ્બર 2023ની એસએમસીની પે સ્લિપ રજૂ કરી હતી. આ પગાર સ્લિપમાં કોમ્પ્યુટરની મદદથી તેનો બેઝીંક પગાર રૂ.26 હજાર હતો. જેની જગ્યાએ રૂ.41 હજાર કરી દીધુ હતું. તેમજ બીઓબી બેંકના જાણ બગાર તેનો લોગોનો ઉપયોગ કરીને બોગસ એનઓસી બનાવી દીધી હતી.
ભાસ્કર ફોલોઅપ:બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડા મામલે પેપર સેટર્સ પાસે ખુલાસો મંગાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર-3ની ભારતીય જ્ઞાન પરંપરા (IKS) વિષયની મુખ્ય જાહેર પરીક્ષામાં પંદર માર્ક્સનાં પ્રશ્નો સંપૂર્ણપણે સિલેબસથી બહાર હોવાના વિદ્યાર્થીઓના ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા સાથે પરીક્ષા વિભાગને એક્શન મોડી પર આવી ગયા છે. કુલપતિ ડો. ચાવડાએ પેપર સેટર્સ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને સાથે જ તપાસ માટે ડીન અને અંધર ધેન ડીનની તપાસ કમિટી પણ બનાવી છે. દરમિયાન પરીક્ષા વિભાગે પ્રાથમિક તપાસ માટે બેઠક યોજી હતી. પરંતુ ત્યાં કેટલીક જગ્યાએ પ્રોફેસરો પોતાની બેદરકારી છુપાવતા પેપર સિલેબસથી આવ્યા હોવાની ચર્ચા કરતાં નજરે ચડ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ કાર્યવાહી કરાશેફરિયાદ ગંભીર છે. અમે પેપર સેટર્સ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે અને તપાસ કમિટી દ્વારા તમામ પાસાંનું નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે. કોઈ દબાણ વિના વિદ્યાર્થીઓના હિતને મુખ્ય રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. > ડો. કે. એન. ચાવડા, કુલપતિ, VNSGU યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદનો હોબાળોવિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બુધવારે યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. પરિષદે માંગ કરી હતી કે યુનિવર્સિટીની ભૂલથી વિદ્યાર્થીઓને 15 ગુણનું નુકશાન થયું છે તો તેને પૂરા માર્ક્સ આપવામાં આવે તેમજ જવાબદાર પેપર સેર્ટસ સામે કાર્યવાહી કરાય. ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય માટે પ્રશ્નબેંક આપવામાં આવે.
વિશેષ કેમ્પ:ભરૂચ જિલ્લામાં 29,30 નવેમ્બરે મતદારો માટે વિશેષ કેમ્પ યોજાશે
ભરૂચ જિલ્લામાં હાલ મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મતદારોને મતદાર યાદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર ગત 29 અને 30 નવેમ્બરે જિલ્લાના તમામ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરીએ મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના દરેક મતદારને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્થણાંતર, ફોટો અપડેટ તેમજ અન્ય તમામ મતદાર સેવાઓનો લાભ મળી રહેશે. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદાર તરીકે નોંધણી નો મોકો મળશે. કામગીરી બાદ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 9 ડિસેમ્બર અને દાવા અને વાંધાની અવધિ 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધીનો રહેશે. નોટીસની સુનાવણી 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી નું પ્રકાશન કરવામાં આવશે
સઘન સુધારણા કાર્યક્રમ-2026:મતદાર યાદી સુધારણા માટે 29-30 નવેમ્બરે કેમ્પ યોજાશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાહોદ જિલ્લામાં 28 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. આ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, દાહોદ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા 04 નવેમ્બરથી 04 ડિસેમ્બર સુધી મતદારોના ઘરે-ઘરે જઈને એન્યુમેરેશન ફોર્મ્સનું વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ્સ પરત સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે, જિલ્લાના મતદારોની સુવિધા માટે 29 નવેમ્બરે બપોરે 12:00થી સાંજના 5:00 કલાક સુધી અને 30 નવેમ્બરે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કેમ્પમાં મતદારોને તેમના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરશે. આ ઉપરાંત, જે મતદારોના ફોર્મ્સ બાકી રહી ગયા હોય, તેમના ફોર્મ સ્વીકારશે. આ કેમ્પમાં મતદારોને તેમનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં શોધવામાં મદદ કરશે. જો કોઈ કિસ્સામાં નામ ન મળે, તો કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપશે.
ભાસ્કર એક્સક્લુસિવ:NIOSના નામે નકલીનો રાફડો: 71 વેબસાઇટ, 8 એપ, 34 યુટ્યુબ અને 14 વોટ્સએપ નંબર મળ્યા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ નોટિસ જાહેર કરીને વિદ્યાર્થી, વાલીઓને નકલી વેબસાઇટ્સ, એપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સંસ્થાએ જણાવ્યું છે કે તાજેતરમાં અનેક અનધિકૃત પ્લેટફોર્મ્સે NIOSની સત્તાવાર વેબસાઇટની ડિઝાઇન અને સામગ્રીની નકલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. એનઆઇએસે 71 નકલી વેબસાઈટ, 8 ફેક એપ, 34 બનાવટી યુટ્યુબ ચેનલ, 7 ઈન્સ્ટામ-ટેલીગ્રામ એકાઉન્ટ, 14 નકલી વોટ્સએપ નંબર જાહેર કર્યા છે. NIOS દ્વારા જાહેર કરેલી સુચનાઓમાં જણાવ્યું છે કે આ બનાવટી પ્લેટફોર્મ્સ પોતાને અસલી સ્રોત તરીકે રજૂ કરીને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. તેમનો ઉદ્દેશ ખાનગી માહિતી મેળવવાનો હોય છે, જે ઘણીવાર નાણાકીય છેતરપિંડીમાં પરિણમી શકે છે. આવા પ્લેટફોર્મ્સ પ્રવેશ સહાયતા, પરીક્ષા સંબંધિત મદદ, પરિણામ અપડેટ અથવા અભ્યાસ સામગ્રીના નામે ગેરમાર્ગે દોરે છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને જો કોઈ શંકાસ્પદ વેબસાઇટ અથવા ઑનલાઇન એકાઉન્ટની માહિતી મળે, તો તેને તાત્કાલિક sap@nios.ac.in પર રિપોર્ટ કરે, જેથી જરૂરી કાર્યવાહી કરી શકાય. માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો રાખોNIOS એ જણાવ્યું છે કે તમામ સત્તાવાર પરિપત્રો, જાહેરાતો, પરીક્ષા કાર્યક્રમો, શૈક્ષણિક અપડેટ્સ અને વિદ્યાર્થી સેવાઓ માત્ર તેની સત્તાવાર વેબસાઇટ nios.ac.in પર જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સંસ્થાનું કોઈ અન્ય પોર્ટલ કાર્યરત નથી અને તેણે કોઈ પણ કોચિંગ સંસ્થા કે ખાનગી સંગઠનને વિદ્યાર્થીઓ પાસેથી માહિતી કે ચુકવણી લેવાની મંજૂરી આપી નથી. શંકાસ્પદ હેન્ડલ્સની યાદી જાહેર કરાઇસંસ્થાએ એક યાદી જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે સૂચિબદ્ધ કોઈ પણ વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ટેલિગ્રામ ગ્રુપ અથવા મોબાઇલ એપ્લિકેશન NIOS સાથે સંબંધિત નથી. આમાંના ઘણા પ્લેટફોર્મ્સ NIOSના નામ, લોગો અથવા શૈક્ષણિક શબ્દોનો ખોટો ઉપયોગ કરીને પોતાને કાયદેસર દર્શાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓની મદદ માટે NIOS એ આવા નકલી ડિજિટલ પ્લેટફોર્મ્સની વિગતવાર યાદી જારી કરી છે.
ભાસ્કર એનાલિસીસ:દાહોદ જિલ્લામાં 64609 ખેડૂતો પાક સહાયની પ્રતીક્ષામાં
વર્ષ 2025ના ઓક્ટોબર- નવેમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી માવઠાએ દાહોદ જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા ડાંગર અને સોયાબીન સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારે પાક સહાયની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી જિલ્લાના કુલ 64609 ખેડૂતોએ વળતર મેળવવા માટે અરજીઓ કરી છે. દાહોદ જિલ્લામાં પાકને થયેલા નુકસાનના સર્વે મુજબ સૌથી વધુ અસર દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા તાલુકામાં જોવા મળી છે. આ વિસ્તારોમાં ડાંગર અને સોયાબીનનો પાક મોટા પાયે પલળી જતાં કે સડી જતાં ખેડૂતોના સપના તૂટી ગયા હતાં.આખા જિલ્લામાં પાક ખરાબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. અનેક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી શિયાળુ પાકનું વાવેતર પણ મુશ્કેલ બની ગયું હતું. કમોસમી માવઠાના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેતીવાડી વિભાગની110 ટીમોએ તમામ ગામોને આવરી લઈને યુદ્ધના ધોરણે સર્વે કરતાં 49,000થી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે પાક સહાયની જાહેરાતના પ્રતિસાદરૂપે 64609 ખેડૂતોએ નિયત સમયમર્યાદામાં પાક સહાય માટે અરજીઓ નોંધાવી છે. આ અરજીઓ જિલ્લામાં થયેલા નુકસાનની ગંભીરતા દર્શાવે છે. હાલમાં ખેડૂતોની નજર સરકારી તંત્ર પર ટકેલી છે. સર્વેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવ્યા પછી હવે ખેડૂતો પાક સહાયની રકમ તેમના ખાતામાં જમા થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 100 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આફતમાંથી ઉગારવા માટે પાક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ પગલા બાદ દાહોદ જિલ્લામાં 64609 ખેડૂતોએ વળતર મેળવવા માટે નિયત પ્રક્રિયા મુજબ અરજીઓ દાખલ કરી છે. આ આંકડો જિલ્લામાં ખેડૂતોને થયેલા ભારે નુકસાનની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે. ત્યારે આખા જિલ્લામાં અણધાર્યા વરસાદને કારણે 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.
મેટ્રોનો એલિવેટેડ બ્રિજ બનાવવા માટે અલથાણ ચાર રસ્તા 6 માસનો બ્લોક લઈને બંધ કરવામાં આવ્યા હતા. જેને એક વર્ષ બાદ ખોલવામાં આવતા લોકોને મહદઅંશે રાહત થઈ છે પરંતુ અડધો જ સ્પાન મૂકયો હોવાથી ફરીથી રોડ બંધ કરાશે.
કાર્યવાહી:કડાણા તાલુકાના અસરગ્રસ્તોને ફાળવેલી જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરાયાં
શહેરાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજના ના અસરગ્રસ્તોને પુન:વસવાટ ફાળવેલ જમીનમાં દબાણ થતા તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે. જેમાં વરીયાલ ગામમાં એક ઘરને સીલ મારવા સાથે વર્ષોથી ખેતી અને ઘર બનાવીને રહેતા અનેક પરિવારજનો હાલ ચિંતિત બની ઉઠ્યા હતા. શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી તેમજ બામરોલી સહિતના ગામમાં કડાણા જળાશયમાં ડુબાણમાં ગયેલ જમીનના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી.અસરગ્રસ્તોને વર્ષો પહેલા ફાળવેલ જમીનમાં અમુક લોકોએ અનઅધિકૃત કબજો કરેલ હોવાથી નોટિસો આપવામાં આવી હતી. કડાણા ડેમના અસરગ્રસ્તોને પુન:વસવાટ માટે ડેમલી, વરીયાલ સહિતના ગામમાં ફાળવેલ જમીનની સર્વેની કામગીરી અલગ અલગ ટીમો દ્વારા કરાઈ રહી છે. જ્યારે સબંધિત કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા વરિયાલ ગામ માં ભાથીજી મંદિર ની સામે નાયક ફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નળિયા વાળું ઘરને સીલ કરી દેવામાં આવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.જોકે તંત્ર દ્વારા જે ઘર ને સીલ મારવામાં આવ્યું . જ્યારે નાયક અભા ભાઈએ જણાવ્યું હતું કે આ જંગલની જમીનમાં 50વર્ષથી અમે રહીએ છીએ અને જમીને ખેડતા હતા. મારૂ પરીવાર જે ઘરમાં રહેતુ હતુ તે ઘરને સીલ મારી દીધું છે. સંબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશયના યોજનાના અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી જમીન વહેલી તકે તેઓને મળે તે માટે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોય પરંતુ જે જમીનમાં દબાણ તંત્ર ને લાગી રહયુ છે. તેમાં અનેક લોકો વર્ષોથી ખેતી કરી રહયા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવી હશે કે નહી? ત્રણ ગામમાં કડાણા જળાશયના અસરગ્રસ્તોને ફાળવેલી જમીન ને લઈને જરૂરી કાર્યવાહી કરાઇ છે.
ભાસ્કર ઈનસાઈડ:નદીસરમાં સરકારી પડતર, ગાૈચર જમીનમાંથી 1.89 લાખ મેટ્રિક ટન માટીની તસ્કરી કરાઇ
ગોધરાના નદીસર ગામે સરકારી પડતર, ગૌચર તથા સરદાર સરોવરના અસરગ્રસ્તોને ફાળવેલી વિવિધ સર્વેની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે માટી, રેતી અને મોરમની ચોરી થઇ રહી છે. તેવી માહિતી ગ્રામજનો દ્વારા આપતા ખાણખનીજ વિભાગ ઉઘતું ઉઠીને નદીસર ગામે તપાસ કરવા પહોચ્યું હતું. ખનીજ માફિયાઓએ જમીનમાંથી માટીનું અનઅધિકૃત ખોદકામ કરતા મોટા ખાડાઓ પાડી દીધા હતો. ખનીજ વીભાગની ટીમ દ્વારા માપણી ચાલુ કરી હતી. GPS મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિન-અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે. નદીસરના સરપંચ અને તલાટીએ પણ આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમણે કબીરપુરના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ, અજયભાઈ જોગાભાઈ ભરવાડ અને વિરમભાઈ ગોકલભાઈ ભરવાડ દ્વારા આ ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ખાણખનીજ વિભાગે કરેલી ગણતરી મુજબ, ખનીજની કિંમત 3.33 કરોડ રૂપિયા અને પર્યાવરણીય નુકસાનનો દંડ 1.31 કરોડ મળી કુલ 4,64,67, 563નું સરકારી મિલ્કતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે માઈન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવા છતાં પંચમહાલ ખનીજ વિભાગ અજાણ તેવી ચર્ચાઓ ઉઠી હતી. રેતીનું પણ ખનનપંચમહાલ જિલ્લામાં ખનીજચોરી બહુ સામાન્ય વસ્તુ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ખનીજ ચોરોને ઝડપી પાડવામાં આવે છે. નદીસરમાં સરકારી જમીનમાં આટલી મોટાપાયે માટી ચોરી થતી હોય તો તંત્ર અજાણ હશે ? તેવી જ રીતે કાલોલ પાસેની ગોમા નદીમાંથી પણ રેતી માફિયાઓ બેફામ રેતી ઉલેચતા હોય છે. ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:પંચમહાલમાં ટેકાના ભાવે ડાંગરની એક હેકટરે 1500 કિલોની જ ખરીદી
પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ ડાંગર સુકવીને ટેકાના ભાવની ખરીદી માટે જિલ્લામાં 3474 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારી ટેકાની ડાંગર એક મણે રૂા.476ના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. જિલ્લામાં 12 હજાર કરતા વધુ ખેડૂતોએ 49 હજાર હેકટરમાં ડાંગરની ખેતી કરી હતી. લાબા વિરામ બાદ સરકારે ટેકાના ભાવની ખરીદી સોમવારથી શરૂ કરવાની જાહેરાત પણ પંચમહાલના 6 ખરીદી કેન્દ્ર પર બુધવારથી શરુ થઇ છે. દર વખતે ટેકાના ભાવની ખરીદીમાં સરકાર હેકટરે 2300 કિલો ડાંગરની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદની સહાય આપવાની હોવાથી એક હેકટર દીઠ ખેડૂતો પાસેથી 1500 કિલોની ડાંગરની ખરીદી કરી રહ્યા છે. તેમજ ખેડૂતો ડાંગર લઇને આવે ત્યારે ડાંગરનો ભેજ 17 પોઇન્ટથી વધુ હોય તો તે ડાંગર પાછી આપીને સુકવીને પરત લાવવા જણાવી રહ્યા છે. બજાર ભાવ કરતા 100 રૂપિયા ટેકાના ભાવે ડાંગરનો ભાવ વધુ હોવા છતાં ખેડુતો ખરીદ કેન્દ્ર પર ડાંગર વેચવા આવવામાં આળસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ઼ છે. 1 હેકટરે 2300 કિલોને બદલે 1500 કિલો કરી દીધી હું વેલવડ ગામનો ખેડૂત છું.ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવીને ડાંગર વેચવા આવું છે. બજાર ભાવ કરતા રૂા. 100 વધારે છે. પણ પહેલા એક હેકટરે 2300 કિલોથી ધટાડીને આ વખતે 1500 કિલો હેકટરે કરી દેવા અમને ખોટ જાય છે. સરકારી ફરીથી વધારીને 2300 કિલો હેકટર કરે તો ખેડૂતોને ફાયદો થાય: ગણપતભાઇ, ખેડૂત વધુ ભેજવાળી ડાંગરની ખરીદી નથી થતીજિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરનો પાક ભીનો થઇ જતા ખેડૂતો સુકવીને વેચી રહ્યા છે. રજીસટ્રેશન કરવા છતાં ખેડૂતો પાસે ટ્રેકટરની વ્યવસ્થા ન હોવાથી ટેકાના ભાવે વેચવા આવતા નથી. તેમજ કેટલાક ખેડૂતોની ડાંગર કાળી પડી જતા બજારમાં વેચવા જતા યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ખોટ આવી રહી છે. ખરીદ કેન્દ્રો પર ડાંગરમાં ભરેલો ભેજ માપવા મશીનો મુકવામાં આવ્યા છે. જો ડાંગરમાં ભેજ વધારે હોય તો તેવી ડાંગરની ખરીદી કરતા નથી.
ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને સુરત એરપોર્ટ પર તૈયાર પેરેલલ ટેક્સી ટ્રેકને ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. હવે રનવે પર લેન્ડ થયેલી ફ્લાઇટ માત્ર 5થી 10 જ મિનિટમાં એપ્રન પર પહોંચી જશે, જે પહેલા 20થી 25 મિનિટ લેતી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 2,906 મીટર લાંબો અને 45 મીટર પહોળો છે, જે સાઇઝ અનુસાર પેરેલલ ટેક્સી ટ્રેક બનાવાયો છે. જેથી મોટા એરક્રાફ્ટ એટલે કે એરબસ A320 સીરીઝ, બોઇંગ 737 સીરીઝ અને મિડ-સાઈઝ કોમર્શિયલ ફ્લાઇટ્સને સરળતાથી લેન્ડ અને ટેકઓફ માટે પૂરતો છે. પેરેલલ ટેક્સી ટ્રેક બાદ ઇન્ડિગો ફ્લાઇટનો ટર્નઅરાઉન્ડ ટાઈમ 25 મિનિટથી ઘટીને 10થી 15 મિનિટ થયો છે, જ્યારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે ટર્નઅરાઉન્ડ ટાઈમ 35થી40 મિનિટથી 30 મિનિટ થઈ ગયો છે. અધિકારીઓ જણાવે છે કે પેરેલલ ટેક્સી ટ્રેક સુરતના વધતા હવાઇ મુસાફર ટ્રાફિકને ઝડપી અને સરળ રીતે હેન્ડલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. DGCAની મંજૂરી સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વધુ સુરક્ષિત, ઝડપી અને મુસાફરો માટે સરળ બની ગયું છે. કામની વાતફ્લાઇટ્સ મોડી પડવાની ઘટનાઓ ઓછી થઈ જશે1. ફ્લાઇટ્સ માટે રનવે ઝડપથી ખાલી થશે, એક જ સમયગાળામાં વધુ ફ્લાઇટ્સનું લેન્ડિંગ અને ટેકઓફ કરવું શક્ય બનશે. આ એરપોર્ટની હેન્ડલિંગ કેપેસિટી વધારે છે.2. રનવે પર ફ્લાઇટોનો હોલ્ડિંગ ટાઇમ ઘટી જશે, જેનાથી રનવે પર ફ્લાઇટોની ગીચતા ઓછી થશે.3. ફ્લાઇટને લાંબો સમય રનવે પર કે ટેક્સી-વે પર રાહ જોવી પડતી નથી, ગ્રાઉન્ડ પર થતા ઇંધણના વપરાશમાં ઘટાડો થાય છે.4. ફ્લાઇટ મોડી પડવાની ઘટના ઘટી જશે, જેના કારણે એરપોર્ટની ઓવરઓલ કેપેસિટી અને પંક્ચ્યુઆલિટી સુધરે છે.5. એરપોર્ટની કેપેસિટી વધવાથી ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં મોડી થવાની શક્યતા ઘટી જશે, જેથી મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.6. ફ્લાઇટમાં રાહ જોવાની જરૂર પડતી નથી, જે પ્રવાસના અનુભવને વધુ સરળ બનાવે છે7. એરલાઇન્સ - ફ્લાઇટ એપ્રેન પર ઝડપથી પહોંચે છે અને ઝડપથી તૈયાર થઈને ફરી ઉડાન ભરી શકે છે.
ઇરફાન મલેક | દાહોદદાહોદ જિલ્લામાં મનરેગા હેઠળની તમામ કામગીરી હાલમાં સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના કામો અટવાઈ જતાં ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ અગાઉ થયેલા કૌભાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલી અત્યંત આકરી ટેન્ડર શરતો છે. અગાઉ ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાઓમાં મનરેગા હેઠળના કામોમાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં ‘એલ 1 સિવાયની એજન્સીઓને પણ ગેરકાયદેસર રીતે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. જિલ્લામાં કાર્યરત મહત્તમ એજન્સીઓની કોન્ટ્રાક્ટ અવધિ પૂર્ણ થઇ ગઇ છે. જેના કારણે નવી એજન્સીઓની નિમણૂક અનિવાર્ય બની છે. મનરેગાના કામો ફરી શરૂ કરવા માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા નવી એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જોકે,વહીવટી તંત્રે ટેન્ડરની શરતોમાં ધરખમ ફેરફાર કરી તેને અત્યંત આકરી બનાવી દીધી છે.કડક નિયમોને કારણે જિલ્લાની એક પણ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર નથી. સ્થિતિ એ છે કે, જિલ્લાના દરેક તાલુકામાં નવી એજન્સીઓની નિમણૂક માટે એક-બે નહીં, પરંતુ પાંચ-પાંચ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આટલા પ્રયાસો છતાં, એક પણ એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. એજન્સીઓ માટેની સૌથી મોટી અને ગળે ન ઉતરે તેવી શરત છે તે ટેન્ડર કોસ્ટના 3 ટકા જેટલી જંગી રકમ ડિપોઝીટ તરીકે બિડ સાથે જમા કરાવવાની છે.જેની રકમ ટેન્ડરની રકમ પ્રમાણે 21 લાખથી માંડીને 97 લાખ સુધી છે. આ ડિપોઝીટની રકમ એટલી મોટી છે કે તે એજન્સીઓની મૂડીને બ્લોક કરી દે છે. આ સાથે જ જો કોન્ટ્રાક્ટ મળે અને એજન્સી કામ ન લે તો આ રકમ જપ્ત થઈ શકે તેવી કડક શરત પણ મૂકવામાં આવી છે. વળી, ટેન્ડર ફોર્મની ફી પણ ₹ 15000થી ₹ 18000 જેટલી ઊંચી અને નોન રિફંડેબલ રાખવામાં આવી છે. આકરી શરતો અને મોટો નાણાકીય જોખમ જોતાં એજન્સીઓ મનરેગાના કામોથી દૂર ભાગી રહી છે. ઉલલેખનિય છે કે, દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના પર્દાફાશ થયો હતો. દરમિયાન મનરેગાના કામોની ટેન્ડર કોસ્ટ વધી જતાં એજન્સીઓ પણ ટેન્ડર ભરવા આગળ આવતી નથી. 7 વર્ષમાં ડિપોઝિટમાં 96 લાખનો વધારોદાહોદ જિલ્લામાં મનરેગામાં એજન્સી તરીકેબીડ કરવા માટે ભૂતકાળમાં ડિપોઝિટની રકમઘણી ઓછી હતી. વર્ષ 2019 સુધી એજન્સીઓ પાસેથી માત્ર 1 લાખની ડિપોઝિટલેવામાં આવતી હતી.જોકે, ત્યાર પછીના સાત વર્ષના સમયગાળામાં ડિપોઝિટનીરકમમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. આજે આ રકમ 97 લાખ પર પહોંચીગઈ છે. એટલે કે 7 વર્ષમાં ડિપોઝિટમાં સીધો 96 લાખનો જંગી વધારો થયો છે. કૂવા સિવાયના તમામ કામ બંધ મનરેગા અંતર્ગત તળાવ, ચેકડેમ, રસ્તાઓ,વનિકરણ અને અન્ય વિવિધ પ્રકારના સંખ્યાબંધ કામો હાથ ધરવામાં આવે છે. જોકે, જિલ્લામાં હાલની સ્થિતિ જોતાં માત્ર કૂવાના જ કામો ચાલુ છે.તેમાં પણ આકરા નિયમો અને ભૌગૌલિક સ્થિતિને કારણે જોઇયે તેવી પ્રગતિ નથી.જિલ્લામાં કૂવા સિવાયના મનરેગાના અન્ય તમામ કામો વર્તમાનમાં સંપૂર્ણપણે બંધ છે. કામગીરી ઠપ થવાથી શ્રમિકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ છે. જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. કયા તાલુકા માટે કેટલા પ્રયાસ કરાયાતાલુકો -------- પ્રયાસ -------- ટેન્ડર વેલ્યુ -------- ડિપોઝીટ
શહેરમાં SIRની કામગીરી માટે હજારો શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે, જેના કારણે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય લગભગ ઠપ જેવું જ થઈ ગયું છે. સ્થિતિ તો કંઈક એવી છે કે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં શિક્ષકોને શોધે છે, શિક્ષકો ઘરે-ઘરે જઈને મતદારો શોધે છે અને મતદારો SIRનું ફોર્મ ભરવા માટે વર્ષ 2002ની સૂચિમાં પોતાનું નામ શોધી રહ્યા છે. ફોર્મ ભરવા માટે વર્ષ 2002ની યાદીમાં લોકોને પોતાનું નામ શોધતા રીતસર પરસેવો પાડવો પડી રહ્યા છે. ઓનલાઇન શોધીને કંટાળી ગયા બાદ જ્યારે લોકો BLOનો સંપર્ક કરી મતદાન કેન્દ્ર પર પહોંચે છે ત્યારે નામ શોધવા માટે લાઇન લગાવવી પડી રહી છે. આ કામગીરીમાં અત્યારસુધી સુરતમાં કુલ 62 % કામ પૂર્ણ કરી દેવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છેે. સૌથી વધુ કામગીરી સુરત પશ્ચિમ વિસ્તારમાં જ્યારે સૌથી ઓછી ઉધના-લિંબાયત વિસ્તારમાં થઈ છે. BLO પાસે જે લીસ્ટ છે, તે સરનામે તેમને લોકો ઘરે મળી રહ્યા નથી.
ફૂડ વિભાગની તવાઈ:ખાઉધરા ગલીમાં પહેલીવાર ફૂડના 26 સેમ્પલ લેવાયા, ગંદકી મળી, 14 દિવસે રિપોર્ટ આવશે
સુરત શહેરમાં સ્ટ્રીટ ફૂડનો જૂનો અને લોકપ્રિય હબ તરીકે ઓળખાતી મહિધરપુરાની ખાઉંધરા ગલીમાં સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે પહેલીવાર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઇવ દરમ્યાન ખાદ્ય પદાર્થો વેચતી કુલ 12 સંસ્થાઓની કડક સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેચાણ હેઠળના પાઉંભાજી, મૈસૂર મસાલા, ફાલુદા સહિતની વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 26 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને વધુ લેબોરેટરી વિશ્લેષણ માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. 3800નો દંડ પણ કરાયો છે. ચેકિંગ દરમિયાન સંસ્થાઓને પીવાના પાણીની ગુણવત્તા, ગ્રીસ ચેમ્બર્સની નિયમિત સફાઈ, કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ, વ્યક્તિગત સ્વચ્છતા, તેમજ ટોપી, હાથમોજાં અને એપ્રનની ફરજિયાત ઉપયોગ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે-સાથે સુકા અને ભીના કચરાનું અલગ સંકલન કરવાની કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સ્ટોલધારકોને ચેતવણી આપવામાં આવી કે આ નિયમોનું પાલન ન થાય તો કડક વલણ અપનાવામાં આવશે. ખાઉધરા ગલી સ્ટ્રીટ ફૂડના જૂના અને લોકપ્રિય હબ તરીકે ઓળખાય છેખાસ કરીને વડાપાઉ, ભજીયા, લસ્સી, ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ, ઢોસા, પાઉંભાજી સહિતના નાસ્તા માટે લોકો અહીં આવતા રહે છે. વર્ષોથી ચાલતી દુકાનોનું પરંપરાગત સુરતી સ્વાદ લોકો ગમતા હોય છે. મુખ્યત્વે સાંજ પછી અહીં ખાસ ભીડ જોવા મળે છે. આ 12 સંસ્થાને નોટીસ આપી, તેમની દુકાનોમાંથી 26 સેમ્પલ લેવામાં આવ્યા
ભાસ્કર એક્સક્લુસિવ:એઝીથ્રોમાઈસીન, એમ્લોડિપાઈન, D3 સચેટ દવાઓ સ્મીમેરના સ્ટોકમાં જ નથી
સ્મીમેર હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સામાન્ય વાયરલ ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરમાં લેવાતી એઝિથ્રોમાઈસીન, એમ્લોડિપાઈન તથા D3 સચેટ જેવી વિટામીનની દવાઓ સ્ટોકમાં નથી. ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી દવાઓ પૈકી અડધો અડધ દવાઓ સ્ટોકમાં ન હોવાથી દર્દીઓ દવાઓ બહારથી મોંઘા ભાવે લેવા મજબુર છે. એઝીથ્રોમાઈસીન 15 દિવસથી સ્ટોકમાં નથીવાયરલ ઈન્ફેક્શનમાં સામાન્ય રીતે આપવામાં આવતી એઝીથ્રોમાઈસીન દવા છેલ્લા પંદર દિવસ કરતા વધુ સમયથી હોસ્પિટલમાં સ્ટોકમાં નથી. તરત તપાસ કરાવી પુર્તતા કરાવું છું : મનીષા આહિરહોસ્પિટલ કમિટિના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું કે હું આ બાબતે તપાસ કરાવું છુ અને જે દવાઓ સ્ટોકમાં નથી તેની તાત્કાલિક પુર્તતા કરાવવા સૂચના આપું છું. કઈ કઈ દવાઓ સ્ટોકમાં નથી
રાજકોટના બિનય પરસાણા નામના રહીશે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગંભીર અગવડતા ભોગવવી પડી હતી આથી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેની સુનાવણી થઇ જતા ગ્રાહક અદાલતે એર ઇન્ડિયાને દંડ તથા ખર્ચ સહિત રૂ.1 લાખ 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના બિનય પરસાણાએ રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેનેડાના ટોરોન્ટો જવા-આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. 14 કલાકની લાંબી મુસાફરી દરમિયાન તેમને અત્યંત નબળી સીટિંગ વ્યવસ્થા, અયોગ્ય સીટની ગોઠવણી, નબળી રિકલાઇનર અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ સુવિધા મુદ્દે બિનય પરસાણાએ વકીલ મારફત એર ઇન્ડિયાને નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ પોતાના વકીલ ચિરાગ છગ અને સ્મિત પારેખ મારફત એર ઇન્ડિયા સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
મુસાફરી સરળ અને ઝડપી થશે:દ્વારકા-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ મંજૂર, મંદિર સુધી કનેક્ટિવિટી મજબૂત બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે રેલવે મંત્રાલયના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. કુલ રૂ.2,781 કરોડના આ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટો ગુજરાત અને મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં રેલવે ક્ષમતા વધારશે અને લગભગ 32 લાખની વસ્તીને સીધો લાભ પહોંચાડશે. કાનાલુસથી ઓખા સુધીનું ડબલિંગ દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. દેશ-વિદેશના લાખો તીર્થયાત્રીઓ માટે સફર વધુ સરળ અને ઝડપી બનશે, જે સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે. મંજૂર થયેલા પ્રોજેક્ટોમાં દેવભૂમિ દ્વારકા (ઓખા)–કાનાલુસ ડબલિંગ (141 કિમી) અને બદલાપુર–કારજત ત્રીજી અને ચોથી લાઇન (32 કિમી)નો સમાવેશ થાય છે. વધારાની લાઇન ક્ષમતાથી રેલવે ગતિશીલતા વધશે, ભીડ ઘટાડાશે અને ટ્રેન ઓપરેશન વધુ વિશ્વસનીય બનશે. આ પ્રોજેક્ટો ‘PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ હેઠળ આયોજન કરવામાં આવ્યા છે, જે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર કેન્દ્રિત છે. આ માર્ગો કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, POL જેવી વસ્તુઓના પરિવહન માટે અત્યંત મહત્ત્વના છે. વધારાના ટ્રેકથી દર વર્ષે 18 મિલિયન ટન સુધી વધારાનો માલ પરિવહન શક્ય બનશે. રેલવે દ્વારા પરિવહન ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણમિત્ર હોવાથી દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટો દ્વારા લગભગ 3 કરોડ લિટર તેલની બચત, અને 16 કરોડ કિલો CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે જે લગભગ 64 લાખ વૃક્ષ વાવેતર જેટલો પર્યાવરણીય લાભ સમાન છે.
રાજકોટ જિલ્લાના ખેતી, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે ક્ષેત્રોમાં વર્ષાઋતુ-2025 દરમિયાન થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રીય સચિવ કક્ષાની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની સવિસ્તાર વિગતો મેળવી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અધિક કલેક્ટર એ.કે.ગૌતમે કેન્દ્રીય ટીમના સભ્યોને આવકાર્યા હતા. કૃષિ, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વરસાદના કારણે થયેલ નુકસાનીની વિગતો રજૂ કરી હતી. કેન્દ્રીય સચિવોએ ખેતી વિશેની તમામ સ્થાનિક જાણકારી ઉપસ્થિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઓચિંતા વરસાદની પરિસ્થિતિમાં કપાસ અને મગફળીના પાકને બચાવવાના ઉપાયો વિશે કૃષિ વિભાગ દ્વારા કરાયેલી પ્રચાર-પ્રસારની કામગીરીની જાણકારી પણ ટીમના સભ્યોએ મેળવી હતી. રાજકોટ જિલ્લાની કૃષિ ક્ષેત્રની સાંપ્રત પરિસ્થિતિ, જિલ્લામાં લેવાતા ઋતુ પ્રમાણેના રોકડિયા તથા અન્ય કૃષિ પાકો, કૃષિ સંલગ્ન ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ આંતર માળખાકીય સવલતો, ગોંડલ-ઉપલેટા પંથકમાં કાર્યરત એમ.એસ.એમ.ઈ.(સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા ખેડૂતોની સામાજિક પરિસ્થિતિ વગેરે વિશે કેન્દ્રીય ટીમે ઉપસ્થિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ટીમ મેમ્બર્સ માર્ગ અને મકાન વિભાગ હેઠળના માઈનોર બ્રિજ, એપ્રોચ રોડ, ડાયવર્ઝન વગેરેને થયેલા નુકસાનથી માહિતગાર થયા હતા. પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર્સ, વીજથાંભલાઓ તથા વીજલાઈનોને થયેલા નુકસાનની પણ વિગતો જાણી હતી. આંગણવાડી, સરકારી શાળા પરિસર વગેરેને થયેલા નુકસાન વિશે પણ સભ્યોએ જાણ્યું હતું અને અણચિંતવી પરિસ્થિતિનો આયોજનબદ્ધ સામનો કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી વિભાગના અધિકારીઓની સરાહના કરી હતી. કેન્દ્રીય ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ આજે રાજકોટ જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રૂબરૂ નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.
સગીરા ગુમ થઈ:બંગડી બજારમાં ગયેલી સગીરા ગુમ, અપહરણનો ગુનો નોંધાયો
શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. નાનામવા રોડ જીવરાજ પાર્ક પાસે ટાઉનશિપમાં રહેતાં મુસ્લિમ પરિવારની 16 વર્ષની દીકરી મહિલા કોલેજ પાસે માતા સાથે ઓફિસમાં સફાઇ કામ કર્યા બાદ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ કરવા જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને ગુમ થઇ જતાં પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવમાં નાનામવા રોડ વિસ્તારમાં રહેતાં યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. યુવાને જણાવ્યું છે કે, તેને સંતાનમાં એક 16 વર્ષની દીકરી છે. તેના પત્ની મહિલા કોલેજ નજીક ઓફિસમાં સાફસફાઇનું કામ કરે છે. મંગળવારે 25મીએ સવારે નવેક વાગ્યે તે તેની પત્ની અને દીકરીને મહિલા કોલેજ ચોક પાસે ઓફિસ ખાતે ઉતારીને તેના કામના સ્થળે જતો રહ્યો હતો. મારી પત્ની ઓફિસમાં સફાઇ કામ કરતી હોઇ સાથે દીકરી પણ તેને કામમાં મદદ કરાવે છે. ત્યાંથી સાડા દસેક વાગ્યે દીકરી દરરોજ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ શીખવા જાય છે. મંગળવારે પણ તે નોવેલ્ટી સ્ટોર જવા નીકળી હતી, પરંતુ ત્યાં મોડે સુધી ન પહોંચતા તે ગુમ થઇ ગયાનું માલૂમ પડતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
મોડી સાંજનો સમય હતો. શહેરના એક સુમસામ રોડ પર અજાણી મહિલા એકલી ચાલતી દેખાઈ. રસ્તો સૂનો, વાતાવરણ નિર્જન અને આ દૃશ્ય જોયેલી એક વ્યક્તિએ તરત 181 અભયમ ટીમને ફોન કરી જાણ કરી કે, કોઈ મહિલા એકલી છે, કંઈક અજુંગતું ન થાય, જલ્દી આવો. સૂચના મળતાં જ અભયમની ટીમ દોડી આવી. મહિલાની અવસ્થાને ધ્યાનમાં રાખી સૌપ્રથમ તેની સાથે નરમાઈથી વાત કરી. ધીમે ધીમે જાણવા મળ્યું કે તે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી. ટીમે સમજદારીથી વાત ફેરવી પતિનો સંપર્ક મેળવ્યો અને મહિલાને સુરક્ષિત રીતે કચેરીએ લઈને આવી. થોડા સમયમાં પતિ પણ ત્યાં પહોંચી ગયો. મહિલા સંપૂર્ણ મૌન ધારણ કરી ચૂકી હતી, એટલે ટીમે પતિ પાસેથી હકીકત જાણવાની શરૂઆત કરી. પતિએ કહ્યું, તે આખો દિવસ સોશિયલ મીડિયા પર રહે છે, અજાણ્યા લોકો સાથે વાત કરે છે. થોડું સમજાવ્યું હતું, એ ખોટું લાગ્યું હોઇ શકે છે. આ દરમ્યાન પત્નીએ મૌન તોડી હૃદયની પીડા વ્યક્ત કરતાં કહ્યું કે, પતિ સમય આપતો નથી, વાત કરતો નથી. એકલતા દૂર કરવા મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.પરંતુ સવાલ હતો કે તે ઘરેથી ક્યાં જવા નીકળી હતી? આ રહસ્ય ઉકેલવા અભયમ ટીમે બંનેનું અલગ-અલગ કાઉન્સેલિંગ શરૂ કર્યું. રાત વધતી ગઈ 12 વાગ્યા સુધી ચર્ચા ચાલી. અંતે, પત્નીએ પોતાના મનમાં દબાયેલા સત્યને બહાર કાઢતાં કહ્યું કે, તે સોશિયલ મીડિયા પર એક પુરુષ મિત્ર સાથે વાતચીત કરતી હતી. સંબંધોમાં તણાવ અને એકલતાનું દુ:ખ તેણે આ વ્યક્તિ સાથે વહેંચ્યું હતું. આ મિત્રે તેને વિશ્વાસ આપ્યો હતો અને કહ્યું હતું, તું અમદાવાદ એરપોર્ટ પર આવી જા. આ આશ્વાસન અને લાગણીના ભ્રમમાં આવી તે ઘર છોડીને નીકળી ગઈ હતી.અજાણ્યા પર આંધળો વિશ્વાસ જીવન બરબાદ કરી શકે છેસોશિયલ મીડિયાથી અજાણ્યા લોકો મીઠી વાતો, સહાનુભૂતિ અને ખોટા વચનો દ્વારા મનને ભ્રમિત કરી દે છે. ધીમે ધીમે લાગણી પર કાબૂ મેળવે છે અને છેલ્લે આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરે છે. ઓનલાઇન મળતા દરેક લોકો સારા હોય એ જરૂરી નથી. આંધળો વિશ્વાસ જીવનને ખતરનાક દિશામાં લઈ જઈ શકે અને જીવન બરબાદ કરી શકે છે.
જૂની અદાવતનો ખાર રાખી હુમલો:ક્રિષ્ના વોટર પાર્કના માલિકનો તેના નાના ભાઈ પર હુમલો, હોસ્પિટલે ખસેડાયા
રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા તેના સગા નાના ભાઈ સાથે તેણે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદમાં રહેતા અને રાજકોટમાં કુવાડવા રોડ ખાતે ફેક્ટરી ધરાવતા સુરેશભાઈ ગોવિંદભાઈ કણસાગરા(ઉં.વ.63) બુધવારે ગોંડલ રોડ ચોકડી પર આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે તેના મોટા ભાઈ હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરાએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી સુરેશભાઈને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુરેશભાઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં સુરેશભાઈએ જણાવ્યા અનુસાર, અંદાજિત પંદરેક દિવસ પહેલાં જ આ હરિભાઈએ તેના પુત્રને ફેક્ટરી બંધ કરી દેવા બાબતે ખૂનની ધમકી આપી હતી. આ મામલે સુરેશભાઈના પુત્રના મેનેજરની ફરિયાદ પરથી પોલીસે હરિભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો ખાર રાખી આ હરિભાઈએ અમદાવાદથી ભાણેજની દીકરીના લગ્નમાં આવેલા તેના નાના ભાઈ સુરેશભાઈ કણસાગરાને જૂની ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે માથાકૂટ કરી આડેધડ હુમલો કરતાં સુરેશભાઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સુરેશભાઈનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કરેલી પોલીસ ફરિયાદમાં સુરેશભાઈના પુત્રના મેનેજરે હરિભાઈ સહિતનાઓના નામો આપ્યા હતા. ફરિયાદમાં ઉલ્લેખ કર્યા અનુસાર, આ હરિભાઈ તેના ઝનૂની સ્વભાવને લીધે અવારનવાર આ પ્રકારે માથાકૂટ કરતાં હોય આ ઉપરાંત ઉશ્કેરાઈ જઈ માર માર્યાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનો ખાર રાખી ફરી એક વાર હરિભાઈએ તેના નાના ભાઈ સુરેશભાઈને આડેધડ માર મારતાં પોલીસે સુરેશભાઈનું નિવેદન લઈ વધુ તજવીજ હાથ ધરી છે.
મહેસાણા પંથકમાં રહેતી 14 વર્ષની સગીરાને મારી પાસે તારા ફોટા છે, તું આવીને ડિલિટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી તેણીને ડરાવી ધમકાવીને છઠીયારડાના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. મહેસાણા પંથકમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરાને છઠીયારડા ગામના ઠાકોર જયેશજી દીવાનજીએ ઓક્ટોબર મહિનામાં પોતાની પાસે તેના ફોટા છે, તું આવીને ડિલિટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી હતી અને પછી ધમકાવીને ચાર વખત તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગત 23 નવેમ્બરના રોજ સગીરાને ચપ્પુ બતાવી ડરાવીને તેની પાસે બોલાવી આબરૂ લેવાના ઈરાદે તેનો હાથ પકડીને નાસી છૂટ્યો હતો. સગીરાએ પરિવારજનોને વાત કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને તાલુકા પોલીસે જયેશજી ઠાકોર સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાગલપુર સર્વિસ રોડ પર ટ્રાફિક વધતાં બે મહિને દબાણો યાદ આવ્યાં
મહેસાણા શહેરમાં નાગલપુર હાઇવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ મુખ્ય માર્ગ પરનાં વાહનોનો લોડ સર્વિસ રોડ પરડાયવર્ટ કરાયો છે. જેને કારણે સર્વિસ રોડપર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહીછે. વધેલા ટ્રાફિકના આ ધસારાને ધ્યાનેલઇ, મહાનગરપાલિકા તંત્રને બ્રિજનું કામશરૂ થયાના બે મહિના બાદ હવે સર્વિસરોડની સાઇડમાં માર્જીનમાં થયેલાં દબાણોદૂર કરવાનું ભાન થયું, જે કામ પહેલાં જથઇ જવું જોઇતું હતું. જોકે, તંત્ર આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ માર્જીનમાંવાહનોનું પાર્કિંગ થાય અને વાહનવ્યવહાર માટે આખો સર્વિસ રોડ ખુલ્લોરહે તે હોવાનું કહે છે. બુધવારે 34 જેટલાં દબાણો દૂર કરાયાં હતાં.બુધવારે સવારે 11 વાગે મનપાનીદબાણ ટીમે પોલીસ બંદોબસ્ત અને ટોઇંગ વાહન સાથે નાગલપુર કોલેજથી પકવાન હોટલ સુધી દબાણ હટાવવાની કામગીરીશરૂ કરી હતી. ટીમે રોડથી ઊંચા માર્જીનમાંકરાયેલા ઓટલા, રેમ્પ, શેડ, કેબિન,કોમ્પલેક્ષ અને હોટલોની સીડીઓસહિતનાં દબાણ જેસીબીથી તોડી પાડ્યાંહતાં. સીમંધર ફ્લેટ પાસે માર્જીનમાંઆવેલી પ્લમ્બિંગ સામગ્રીની કેબિન પરજેસીબી ફેરવાયું હતું. એક વેપારીએ ટીમનેઆગળ બ્લોક કેમ ન તોડ્યા તેમ કહતાંતેમનો રેમ્પ તોડ્યો છે, બ્લોક પણ નીકળીજશે તેમ કહ્યું હતું. જયદેવ કોમ્પલેક્ષઆગળ ટીમ પહોંચે તે પહેલાં જ કેટલાકદુકાનદારો બ્લોક કાઢવા લાગ્યા હતા.ટોઇંગ ટીમે અડચણરૂપ બે બાઇક ટોઇંગકરતાં દંડથી બચવા માટે એક બંધ પડેલીગાડીને કેટલાક લોકો ધક્કા મારીનેહાઇવેની સલામત જગ્યાએ પાર્ક કરીઆવ્યા. બપોરે વિરામ બાદ, ટીમે ફરીકામગીરી શરૂ કરી અને ચાર વાગ્યાસુધીમાં પકવાન હોટલ સુધી પહોંચી હતી.જ્યાં હોટલની સીડી તોડી પડાઇ અને ગોળરેલિંગ સીડી લગાવવા સૂચવ્યું હતું. મોટાપાયે દબાણો દૂર કરાયા ત્યારે કેમ નાગલપુર રોડ યાદ ના આવ્યો?જવાબ : સર્વિસ રોડ ઉપર વાહનોનો લોડ વધ્યો એટલે માર્જીનખુલ્લું કરાવી રહ્યા છીએ. વાહન પાર્કિંગ રોડ ઉપર ન થાય અનેમાર્જીનમાં થાય તે માટે દબાણો દૂર કરવા જરૂરી હતા. આગળક્યાં ટ્રાફિક વધુ રહે છે તે ચકાસીને દબાણ કાર્યવાહી ચાલુ રખાશે. બ્રિજ બનવાનો હતો છતાં મનપાએદબાણો દૂર કરવાનું આયોજન ના કર્યુંમનપાએ રાધનપુર અને મોઢેરા રોડસહિતનાં માર્ગો ઉપર શેડ સહિતનાંદબાણો હટાવ્યા પછી છ મહિનાથી દબાણદૂર કરવાનું ભૂલી ગયું હતું. હવે સર્વિસ રોડપર ટ્રાફિક થતાં ફરી દબાણો દૂર કરવાનુંશરૂ કરાયું છે. નાગલપુર ઓવરબ્રિજબનવાનો જ હતો, તેને લઇ માર્ગ અનેમકાન વિભાગે પણ ધ્યાન દોર્યું હોવા છતાંઆ કામગીરી પહેલાંથી કરવાનાઆયોજનમાં તંત્ર ઊંઘતું રહ્યું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિરના 27મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ તકે ષોડશોપચાર પૂજનવિધિ અને અભિષેકવિધિ તેમજ પાટોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના 20થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં મંગળા આરતી બાદ પાટોત્સવની મહાપૂજાવિધિ યોજાઈ હતી. સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરાઇસંતો તથા ઉપસ્થિત તમામ હરિભક્તોએ ભગવાન સમક્ષ સમગ્ર વિશ્વમાં સુખશાંતિ સ્થપાય સાથે સાથે ભક્તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ઠાકોરજી સમક્ષ તથા ગુરુપરંપરા, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી સમક્ષ પૂજન, અભિષેક, પંચામૃત સ્નાન અને કેસર જળાભિષેક વગેરે પાટોત્સવ વિધિઓ સંપન્ન થઈ હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ શનિવારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ માટે 31 ઑક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં કુલ 2.18 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શૈક્ષણિક વર્ષ 2025–26માં અભ્યાસ કરતા ધોરણ–6ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્યભરમાં કુલ 1,42,775 વિદ્યાર્થીએ આ પરીક્ષા માટે અરજી કરી છે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ધોરણ–9માં અભ્યાસ કરતાં કુલ 75,423 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે. આમ, બંને પરીક્ષા માટે મળીને 2,18,198 વિદ્યાર્થી પરીક્ષા આપવા તૈયાર છે. રાજકોટમાં પણ જુદા જુદા કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષાને લઈને શિક્ષણ તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પરીક્ષાનું આયોજન શનિવારના રોજ બપોરે 1થી 3 વચ્ચે રાજ્યના કુલ 1,205 પરીક્ષા કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 754 પરીક્ષા કેન્દ્ર અને 5,123 વર્ગ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા બોર્ડે અગાઉ જ જાહેરનામાં દ્વારા ઓનલાઈન આવેદન અને ફી ભરવાની પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી. 29 નવેમ્બરે પરીક્ષાની તારીખ જાહેર થતાં જ શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સમયસર તૈયારી માટે સૂચિત કર્યાં હતાં. રાજ્ય સરકારની PSE યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ.750 મળશે જ્યારે SSE યોજનામાં વર્ષમાં એક વખત રૂ.1000ની સ્કોલરશિપનો લાભ મળવાનો હોવાનું જાણવા મળ્યું છે. સફળ વિદ્યાર્થીઓને બોર્ડ શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો એનાયત કરશેપ્રાથમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર ક્વોટા પ્રમાણે પ્રથમ 1000 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત થશે. માધ્યમિક શિષ્યવૃત્તિ :તાલુકાવાર ક્વોટા પ્રમાણે કુલ 2900 વિદ્યાર્થી (ગ્રામ્યના 1500, શહેરી વિસ્તારના 1000 અને ટ્રાયબલના 400)ને શિષ્યવૃત્તિ મળશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને પણ માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરાશે. પરીક્ષાની પેટર્ન બે પ્રકારની કસોટી હશે
ભાસ્કર ઈનસાઈડ:શહેરમાં 54 સીસી અને ડામર રોડનાં કામ 30 ડિસેમ્બર સુધીમાં પૂરાં કરાશે
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેર અને ભળેલા 19 ગામોના 59 રોડનું રિસરફેસ કામ આગામી 30 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવા કોન્ટ્રાક્ટરોને ડેડલાઇન અપાઇ હતી. આ સાથે જ રોડની ગુણવત્તાનું પૂરું ધ્યાન રાખવા તાકીદ કરી હતી. મનપા દ્વારા આ તમામ રોડનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન પણ કરવામાં આવનાર છે. મનપા દ્વારા રૂ.30 કરોડના ખર્ચે આ 59 રોડ રિસરફેસ કરાનાર છે. જેમાં રૂ.23 કરોડના 34 ડામર રોડ અને રૂ.7 કરોડના 25 સીસી રોડનો સમાવેશ થાય છે. હાલ ટીબી હોસ્પિટલ રોડ સ્નેહકુંજ સોસાયટી, પાંચોટ હાઇવે ચોકડીથી ગામ તરફનો રસ્તો, ચોકની લીમડીથી ખારી નદી, રાધનપુર રોડ બાવનના નેળિયામાં, ફતેપુરા ગામથી બાયપાસ, ફતેપુરા ગામથી હાઇવેનું કામ ચાલુ છે. કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડની કામગીરી કયા તબક્કે છેનો રિવ્યુ કરાયો હતો મનપાની પેનલ સિસ્ટમથી રોડ કામ ઝડપથી શરૂ થવા લાગ્યાનગરપાલિકા વખતે સોસાયટીઓની 20 થી 25 દરખાસ્તો એકઠી કરી પ્રાદેશિક કચેરીએ ત્યાંથી ફાઇનાન્સ બોર્ડમાં જાય પછી મંજૂરી બાદ ટેન્ડર કરીને એક જ એજન્સીને કામ સોંપાતું. જેમાં એક સોસાયટીમાં રોડ પાછળ 15 દિવસ લાગે, પછી બીજો રોડ શરૂ કરે. જેમાં વધુ સમય લાગતો. પરંતુ, હવે કોર્પોરેશન બનતાં દરખાસ્ત સીધી ફાઇનાન્સ બોર્ડમાં જાય અને મંજૂરી પછી મનપા પેનલ એજન્સી સિસ્ટમમાં તમામ રોડનાં કામ એક એજન્સીના બદલે 5 થી 10 એજન્સીઓમાં વહેંચતાં નગરપાલિકા કરતાં કામ ઝડપી પૂરાં થવા લાગ્યાં છે.
ભાસ્કર એક્સક્લુસિવ:આગામી ચોમાસામાં રેલવે સ્ટેશનના વરસાદી પાણીથી ગોપીનાળું ભરાશે
મહેસાણા રેલવે સ્ટેશન તરફ તાજેતરમાં બે સ્થળે નવા રસ્તા બનાવ્યા છે. આ બંને રસ્તા ગોપીનાળું વિસ્તાર અને ત્યાંથી રાધનપુર સર્કલ તરફ જતાં મુખ્ય માર્ગને સ્પર્શે છે. પરંતુ, અહીં વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા કરાઇ ન હોઇ આવનારા ચોમાસામાં વરસાદી પાણી સીધું ગોપીનાળામાં જવાની પૂરી શક્યતા છે, જે મુશ્કેલીમાં વધારો કરશે. ગોપીનાળાથી રેલવે સ્ટેશન તરફ નવા માર્ગની સાઇડમાં નાની કેનાલ બનાવી છે, જે ગોપીનાળાની બહારની બાજુએ જઈ મળે છે. બીજી તરફ, ગોપીનાળાથી રાધનપુર સર્કલ તરફના માર્ગે રેલવે કોલોનીની બાજુમાં આવેલા જૂના રસ્તાને તોડી નવો પહોળો માર્ગ બનાવાયો છે. બંને માર્ગનો ઢાળ મુખ્ય શહેર તરફ રહેતાં વરસાદી પાણીનો પ્રવાહ પણ એ દિશામાં જ રહેશે. ઉપરાંત, રેલવે સ્ટેશનનો લગભગ 10 હજાર ચોરસ મીટર ધરાવતો પાર્કિંગ ઝોન સહિતનો વિસ્તાર ઊંચાઈ પર છે અને ત્યાં વરસાદી પાણી નિકાલની કોઈ સુવિધા નથી. આ કારણે સ્ટેશનના આ વિસ્તારનું પાણી બંને નવા માર્ગેથી ગોપીનાળામાં પહોંચશે. ગોપીનાળામાં દર વર્ષે પાણી ભરાવાથી ભારે મુશ્કેલીની સ્થિતિ સર્જાઇ રહી છે. કલાકો સુધી ટ્રાફિકજામને લઇ લોકોએ હેરાન થવું પડે છે. એવામાં આ નવી મુસીબતથી આગામી ચોમાસામાં વધારાના વરસાદી પાણીના પ્રવાહથી અહીંની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. અગાઉ પાણી નિકાલમાં કલાકો લાગતા હતા, હવે આખો દિવસ લાગી શકે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ભાસ્કર શીખ:મહેસાણામાં રહેતા નિવૃત્ત ડોક્ટરને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ 30 લાખ પડાવ્યા
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા મહેસાણામાં રહેતા નિવૃત્ત તબીબને 16 થી 25 નવેમ્બર સુધી સળંગ 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૂ.30 લાખ પડાવ્યા હતા. સીબીઆઇ અધિકારી તરીકેની ઓળખ આપી તમારા નામે મુંબઈની કેનેરા બેન્કમાં ખુલેલા ખાતામાં રૂ.2 કરોડ જમા થયા હોવાનું કહી સતત વીડિયોકોલ ઉપર સુપ્રીમ કોર્ટનું વોરંટ બતાવી, અલગ અલગ ત્રણ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે. મહેસાણાના નિવૃત્ત તબીબને 16 નવેમ્બરના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દિલ્હીથી સંજય ગુપ્તાએ ફોન કરી તમારા આધારકાર્ડથી તિલકનગર મુંબઈ ખાતે સીમકાર્ડ લીધું છે અને તેનાથી ફ્રોડ થયું છે. તમને સીબીઆઈના અધિકારી વિજય ખન્ના ફોન કરશેનું કહી ફોન મૂકી દીધા બાદ તરત જ 94264 87401 નંબરથી સીબીઆઇના અધિકારી વિજય ખન્નાના નામથી તેમને ફોન કરી, જેટ એરવેઝના ચેરમેનના ઘરે રેડમાં મળેલા 247 આધારકાર્ડમાં તમારું આધારકાર્ડ પણ મળ્યું છે. જેનાથી મુંબઈ ચેમ્બુરમાં કેનેરા બેન્કમાં તમારું ખાતું ખુલેલ છે અને તેમાં રૂ.2 કરોડના નાણાકીય વ્યવહારો થયા છે. તેમાં સાયબર ફ્રોડના નાણાં પણ જમા થયા છે અને તમે તમારું બેન્ક ખાતું વાપરવા આપવા બદલ રૂ.25 લાખ લીધા હોવાનું તપાસમાં આવ્યું છે. જેથી તમારા વિરુદ્ધમાં મની લોન્ડરિંગ બાબતે એફઆઇઆર દાખલ થઇ છે અને સુપ્રીમ કોર્ટે તમારા વિરુદ્ધ એરેસ્ટ વોરંટ કાઢ્યું છે તેમ કહી, તેમને એરેસ્ટ વોરંટ બીજા લીગલ ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. બીજી ઘટના | કડીના વૃદ્ધ પાસે પણ સાયબર ફ્રોડના રૂ.4.90 કરોડ જમા થયા છેનું કહી રૂ.10 લાખ પડાવ્યાસાયબર ફ્રોડની બીજી ઘટના કડીમાં બની છે. જેમાં ગત 12 નવેમ્બરના રોજ કડીના વૃદ્ધને 91605 38568 નંબરથી વીડિયોકોલ આવ્યો હતો અને તે કોલમાં પોલીસના ડ્રેસમાં એક વ્યક્તિ અને સાદા કપડામાં બીજા બે જણ હતા. તેમણે પોતે મહારાષ્ટ્ર પોલીસમાંથી બોલે છે અને તમારા આધારકાર્ડથી કેનેરા બેન્કમાં ખોલેલા એકાઉન્ટમાં રૂ.4.90 કરોડ જમા થયા છે, જે સાયબર ફ્રોડના છે. જેથી તમારા ઉપર ગુનો દાખલ કરવાનો છે અને પોલીસ તમને પકડી જશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ 13 થી 20 નવેમ્બર સુધી વીડિયોકોલ કરી સુપ્રીમ કોર્ટ અને રિઝર્વ બેંકના પત્રો મોકલી બેંકમાં જઈને રૂપિયા આરટીજીએસ કરવાનું કહેતાં વૃદ્ધે બેંકમાં જઈને 21 નવેમ્બરના રોજ ઠગે મોકલેલા ખાતામાં રૂ.10 લાખ આરટીજીએસ કર્યા હતા. પોતાની સાથે બનેલી ઘટના અંગે તેમણે પુત્રને જણાવતાં તેણે સાયબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં મહેસાણા સાઈબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કે કોર્ટ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથીકોઈપણ પોલીસ કે કોર્ટ ક્યારેય કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. સાયબરનાં નાણાં જમા થતાં ખાતાઓની પોલીસ દ્વારા કરાતી તપાસમાં કોઈપણ પોલીસ વીડિયોકોલ કે ઓનલાઇન કાર્યવાહી કરતી નથી. તેના માટે જે-તે વ્યક્તિને રૂબરૂ જ બોલાવવામાં આવે છે. જેથી સીબીઆઇ કે અન્ય પોલીસના નામે કોઈ પણ અધિકારીનો ફોન આવે તો તેના જાસામાં આવવું નહીં અને રૂપિયા ટ્રાન્સફર કરવા નહીં.
મંજૂરીની મોકાણ:સાંઢિયા પુલને નડ્યું રેલવે તંત્રની મંજૂરીનું ગ્રહણ, ડિસેમ્બરમાં લોકાર્પણ અસંભવ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2 અને 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર રૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો ન થાય તેવા સંજોગો સર્જાયા છે. સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 3 મહિના પહેલાં મંજૂરી માગી હતી જે આજદિન સુધી ન મળતા મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે. હવે સંભવત: સાંઢિયા પુલનું કામ એપ્રિલ કે મે મહિનામાં પૂરું થાય તેવા સંજોગો મળી રહ્યા છે. સાંઢિયા પુલનું કામ માર્ચ-2026 સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જ્યાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે અને તેના માટે 90 દિવસ પૂર્વે મંજૂરી માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અગાઉ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો અને ટેલિફોનિક ફોલોઅપ લેવામાં આવ્યા બાદ પણ હજુસુધી મંજૂરીના ઠેકાણા નથી. અને હજુ એક-બે મહિના બાદ મંજૂરી આવે તેવી શક્યતા છે. આ કામ માટે રેલવે તંત્રે બ્લોક લેવો પડે એટલે કે જ્યારે કોઇ ટ્રેન પસાર થવાની ન હોય ત્યારે જ સ્ટીલના તોતિંગ ગર્ડર લોન્ચિંગની કામગીરી થઇ શકે છે. તેથી જ્યાં સુધી રેલવે તંત્ર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી કામ અટકેલું રહેશે. સત્તાધીશો આ પુલનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની ગણતરી રાખી રહ્યા હતા જે હવે શક્ય ન હોવાનું જાણવા મળે છે.
જાહેર હરાજી:મનસુખભાઇ છાપિયા ટાઉનશિપની 8 દુકાનના રૂ.342.10 લાખ ઉપજ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મનસુખભાઈ છાપિયા ટાઉનશિપની 8 દુકાનની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં 8 દુકાનની અપસેટ કિમત રૂ.236.10 લાખ રાખવામાં આવેલ જેની સામે હરાજીમાં રૂ.342.10 લાખનો રેકોર્ડબ્રેક ભાવ ઉપજ્યા હતા. મનપાએ પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ-28/એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલ મનસુખભાઈ છાપિયા ટાઉનશિપના શોપિંગ સેન્ટરની કુલ-8 દુકાનની હરાજી બુધવારે કરી હતી જેમાં દુકાન ખરીદવા ઇચ્છુક 51 જેટલા ખરીદારોએ ભાગ લીધો હતો. આ જાહેર હરાજીમાં 8 દુકાનનો ભાવ અપસેટ પ્રાઇઝ કરતાં 44.89 ટકા વધુ ઉપજ્યા હતા. આ 8 દુકાનની અપસેટ પ્રાઇઝ કરતાં મહાનગરપાલિકાને રૂ.106 લાખની વધુ આવક થઇ હતી.
1405 કરોડના માતબર ખર્ચે તૈયાર કરાયેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને મળતી સુવિધાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટ એરપોર્ટ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા દૈનિક મુસાફર પ્રતિભાવના આંતરિક અહેવાલોમાં જ એરપોર્ટની બેદરકારીની પોલ ખૂલી ગઈ છે. મુસાફરોની સૌથી મોટી ફરિયાદો નેટવર્ક કનેક્ટિવિટી, વાઇફાઇની કામગીરી અને ટર્મિનલમાં ખાણીપીણીના ઓછા વિકલ્પો અંગે છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજ 30 મુસાફરના પ્રતિભાવ એકત્રિત કરે છે, જેમાંથી મુખ્ય ફરિયાદ ટેક્નોલોજિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈ અંગેની છે. મુસાફરોએ ટર્મિનલ બિલ્ડિંગની અંદર મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી સંપૂર્ણપણે ન આવતી હોવાની ફરિયાદ કરી છે. આ સમસ્યાના નિરાકરણ માટે In-Building Solutions (IBS) માટેનું ટેન્ડર બહાર પડાયું હતું, પરંતુ તેમાં કોઈ એજન્સીએ ભાગ ન લેતાં તે નિષ્ફળ ગયું હતું. AAIએ હવે આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ, વાઇફાઇ કાર્યક્ષમતાને લઈને પણ મુસાફરો પરેશાન છે. અહેવાલમાં જણાવાયું છે કે, વાઇફાઇ સિસ્ટમ કાર્યરત હોવા છતાં, તેની લૉગિન પ્રક્રિયા અત્યંત જટિલ અને યુઝર-ફ્રેન્ડલી નથી. એરપોર્ટ ઓથોરિટીએ BSNL ટીમને સમસ્યા દૂર કરવા સૂચના આપી છે. સાથે જ, મુસાફરોની સુવિધા વધારવા માટે મફત વાઇફાઇ ઍક્સેસ સમય 45 મિનિટથી વધારીને 4 કલાક કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોએ પૂરતા પ્રમાણમાં ફૂડ આઉટલેટ્સ ન હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે ટૂંક સમયમાં બે મોટી બ્રાન્ડ્સ લાવવાની તૈયારી કરી છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે કસ્ટમની ટીમ એરપોર્ટની મુલાકાત લેશેએરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે પણ AAI ઝડપથી કાર્યવાહી કરી રહી છે. કસ્ટમ્સ વિભાગ, જામનગરની ટીમ 27 નવેમ્બરે એરપોર્ટની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. પાયાની સુવિધાઓમાં ખામીઓ, પરંતુ એરપોર્ટ ઓથોરિટી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે, કસ્ટમ્સ, જામનગરની એક વિશેષ ટીમ ગુરુવારે ઓપરેશનલ જરૂરિયાતોની સમીક્ષા કરશે, જે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ શરૂ કરવા માટેનું એક નિર્ણાયક પગલું બની શકે છે.
આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે. વિશ્વ જોતું રહી જાય એવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે. મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઉભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝ્મથી લઈને નોકરીની ડિમાન્ડ ઉભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે. તેમજ 3 લાખ જેટલી રોજગારી ઉભી થશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેટલું બજેટ જોઈશે?, તોતિંગ ખર્ચની ગુજરાતના અર્થતંત્ર પર કેવી અસર થશે?, હોટલ, ટુરિઝમ, રિઅલ એસ્ટેટ માર્કેટને આ ગેમ્સના આયોજનથી કેવી આશા છે અને તેનાથી આ ઉદ્યોગોમાં કેવા પરિવર્તન આવશે? આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. દેશમાં ગુજરાત સ્પોર્ટસનું હબ બનશેવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આંતરરાષ્ટ્રી પતંગોત્સવ, રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. અમદાવાદે 2026 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઈટ લિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે. જે દેશમાં ગુજરાતને સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઈવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો વધશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અમદાવાદને અને ગુજરાતના અર્થતંત્રને કેટલો ફાયદો થાય?, ખાસ કરીને કયા કયા સેક્ટરને સૌથી વધુ ફાયદો થાય અને ખર્ચમાં કરકસર માટે સરકાર શું કરી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે આર્થિક બાબતોના જાણકાર જય નારાયણ વ્યાસ, યમલ વ્યાસ અને પ્રોફેસર હેમંતકુમાર શાહ સાથે વાતચીત કરી હતી. આયોજના પાછળ 30,000થી 35,000 કરોડના ખર્ચનો અંદાજજયનારાયણ વ્યાસે જણાવ્યું હતં કે, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની પાછળ અંદાજિત 30 થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રમતગમતના સ્ટેડિયમ બનશે, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ વધારો થશે, જેના કારણે રોજગારીમાં પણ વધારો થશે. એરલાઈન્ટ અને હોટલ ઉદ્યોગનો બુસ્ટ મળશે. કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે એટલે તેનાથી ફાયદો જ થાય. દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો જ થયો હતો. કોમનવેલ્થના આયોજનથી નવી 1 લાખ રોજગારીની તકો સર્જાશે: યમલ વ્યાસઆર્થિક બાબતોના જાણકાર યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રમતગમત માટે જ 5 હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અલગ થશે. ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે. ગેમ્સના આયોજનના કારણે અંદાજિત એક લાખ નવી રોજગારની તકોનું સર્જન થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટને બૂસ્ટ ડોઝ મળશે2020 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જે સંભવિત સ્થળો છે તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં જમીન-મકાનનાી ભાવમાં રોકેટગતિએ વધારો થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટના જાણકારોનું માનીએ તો, હાલ રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલે છે પણ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના કારણે બુસ્ટ મળશે. 'જમીન માલિકોને ચાંદખેડા, મોટેરામાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો'રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોના મતે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાતના કારણે ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ શકે છે. તેમજ તેની નજીકમાં આવતા ઝુંડાલ, વૈષ્ણોદેવી સર્કલ અને સરગાસણ સહિતના વિસ્તારમાં જમીનના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રોકાણકારો માટે પણ રોકાણ માટે આ સુવર્ણ સમય ગણી શકાય. ચાંદખેડા ભાવિ વિકાસ કેન્દ્ર મોટેરા, ચાંદેખડા, ઝુંડાલ, વૈષ્ણોદેવી, ત્રાગડ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેવું રિયલ એસ્ટેટ સેક્ટરના એક્સપર્ટ માની રહ્યા છે. કારણ કે ચાંદખેડાને એક ભાવિ વિકાસ કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. તેમજ મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ એરિયા હોવાથી આ વિસ્તારમાં ઘણો વિકાસ થઈ શકે છે જેના કારણે રોકાણ કરવા માટે સૌથી વધુ ફાયદાકારક રહેવાનું છે. અમદાવાદમાં ઘર લેવું ગર્વની બાબત બની જશે: ક્રેડાઈના પ્રમુખક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતું કે,અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટની સાથે સાથે શહેરનો પણ વિકાસ થવાનો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ અમદાવાદમાં આવી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ આવવાથી માત્ર અમદાવાદમાં રહેતો ગુજરાતી જ નહીં બહાર રહેતા ગુજરાતી પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. અમદાવાદમાં ઘર લેવું ગર્વની વાત બની જશે.ખૂબ મોટું માઇગ્રેશન અમદાવાદમાં આવશે જેથી ઘણો ગ્રોથ પણ થવાનો છે. સ્પોર્ટ્સ સંકુલ જ્યાં બનવાના છે ત્યાં ઘણું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. વધુમાં તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો GDP ગ્રોથ વધી જવાનો છે. મોટેરા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, ઝુંડાલ સહિતના વિસ્તારમાં ઇન્વેસ્ટ કરશો તો ઘણો એવો ગ્રોથ મળવાનો છે.ઇન્વેસ્ટનેટ પણ અમદાવાદ ફાસ્ટ આવશે જેનાથી ગ્રોથ પણ થવાનો છે. કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને જ ડેવલોપમેન્ટ થવાના છે. અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગમાં અને ઓપન લેન્ડમાં ઘણું ડેવલોપમેન્ટ થશે. ચાર કે છ મહિનામાં કોઈ ઇન્વેસ્ટમેન કરશે તો ઘણું સારું રિટર્ન મળવાનું છે. 'શહેર આસપાસના 77 કિમીના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે'સિટી એસ્ટેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ બાવડીયાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદ શહેર આસપાસના 77 કિલોમીટરના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે. મોટેરા સહિતના વિસ્તારમાં પણ ભાવ ખૂબ વધી શકે છે. અત્યારે રોકાણ કરો તો સારું એવું બેનીફીટ મળી શકે છે. આવનારા 10 વર્ષ ગુજરાત માટે ખૂબ મહત્વના રહેવાના છે. કોમનવેલ્થ ગેમ્સના કારણે ઝુંડાલ, ત્રાગડ અને વૈષ્ણોદેવી જેવા વિસ્તારમાં ભાવમાં ચોક્કસથી વધારો જોવા મળશે. 'રોકાણ કરવું હોય તો અત્યારનો સમય યોગ્ય છે'કયા વિસ્તારની ડિમાન્ડ વધી શકે છે? તેને લઈને પ્રવીણ બાવડીયા જણાવે છે કે, અત્યારે જો કોઈને રોકાણ કરવું હોય તો કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ. જે લોકોએ પોતાનું ઘર ખરીદવાનું બાકી હોય તો આ જ યોગ્ય સમય છે. કારણકે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થયા બાદ ભાવમાં ઘણો ઉછાળો જોવા મળશે. ઝુંડાલ, ત્રાગડ, વૈષ્ણોદેવી, થલતેજ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ઘણું ફાયદાકારક રહેશે. અત્યારે રોકાણ કરીએ તો 35 ટકાથી વધુનો વધારો ચોક્કસથી થઈ શકે છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદનું અંતર કાપવું સરળ થઈ ગયું છે. જેથી વૈષ્ણોદેવીથી ઝુંડાલ અને મોટેરા સુધીનો જે વિસ્તાર છે તેમાં રોકાણ કરવું જોઈએ. લુલુ મોલ સહિતના મોટા મોટા મોલ પણ એ જ વિસ્તારમાં આવી રહ્યા છે. જો રોકાણ કરવું જ હોય તો અત્યારનો સમય એકદમ યોગ્ય જ છે. સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો વિસ્તાર જોરદાર ગતિ પકડશેવધુમાં પ્રવીણ બાવડીયા જણાવે છે કે, સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો જે વિસ્તાર છે તે જોરદાર ગતિ પકડવાનો છે. અન્ય જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અમદાવાદ અભ્યાસ માટે આવે છે જેથી ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ અમદાવાદ-ગાંધીનગરમાં નોકરી કરે તો અહીં ઘર રાખવાનું પસંદ કરતા હોય છે. કોલકાતા, મુંબઈ, રાજસ્થાનના ઇન્વેસ્ટરનું અમદાવાદ પર ધ્યાનતેમજ કોલકાતા, મુંબઈ, રાજસ્થાન સહિતના ઇન્વેસ્ટર અમદાવાદમાં ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. NRIમાં અમેરિકા, લંડન અને આફ્રિકાથી પણ ઘણા ગુજરાતીઓ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જેથી આવનાર સમયમાં સુવર્ણ યુગની શરૂઆત થશે અને અમદાવાદ સૌથી હોટ ડેસ્ટિનેશન બની જવાનું છે. મોટી મોટી બ્રાન્ડ અમદાવાદમાં મોલ શરૂ કરશે- શ્રેયાંસ શાહરિયલ એસ્ટેટના એક્સપર્ટ શ્રેયાંસ શાહે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થતાં જ ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં 15થી 20 ટકાનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ જ જવાનો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને ઘણો ફાયદો થવાનો છે. ઇન્ફ્રાસ્ટરમાં સરકાર કોમનવેલ્થ ગેમ્સની તારીખની સાથે જાહેરાત કરી શકે તો સોનામાં સુગંધ ભળી એવું કહી શકાય છે. નવા રોડ અને બ્રિજ બન્યા બાદ તૂટી જાય છે તેમાં સરકારે સુધારો કરવાની જરૂર છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના ગામડાઓમાંથી લોકો અમદાવાદ શિફ્ટ થઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની સાથે સાથે જો ઓલિમ્પિક પણ સરકાર લાવે તો આખા દેશમાં ગુજરાતનો ડંકો વાગી જાય. વધુમાં શ્રેયાંસ શાહ જણાવે છે કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં મિલકતમાં 100 ટકા ભાવ વધારો થવાનો જ છે. લોકોને રોજગાર મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું ડેવલપ થશે. અમદાવાદની રોનક બદલાઈ જવાની છે. કારણ કે આવી કોઈ મોટી ગેમ્સનું આયોજન થયું નથી. જેથી મોટી મોટી બ્રાન્ડ અમદાવાદમાં તેમના મોલ શરૂ કરશે. વિશ્વમાં અમદાવાદનો ડંકો વાગશે તો બિલ્ડર અને ઈન્વેસ્ટર અને જે લોકો મિલકત ધરાવતા હશે તેમને પણ ઘણો ફાયદો થવાનો છે. અત્યારે ઘણા લોકો પાસે ઇન્વેસ્ટ કરવા માટે કોઈ સાધન રહ્યા નથી. અત્યારે રોકાણ કરવું હોય તો તપોવન સર્કલ, વૈષ્ણોદેવી, ઝુંડાલ આ તમામ વિસ્તાર અત્યારે રોકાણ કરવાથી ઘણો બધો વધારો થઈ જવાનો છે. જાહેરાત થતા જ 15થી 20 ટકાનો વધાર થવાનું નક્કી જ છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અમદાવાદને અને ગુજરાતના અર્થતંત્રને કેટલો ફાયદો થાય?, ખાસ કરીને કયા કયા સેક્ટરને સૌથી વધુ ફાયદો થાય અને ખર્ચમાં કરકસર માટે સરકાર શું કરી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે આર્થિક બાબતોના જાણકાર અને ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે વાત કરી હતી. 'અમદાવાદમાં અંદાજિત 30 થી 35 હજાર કરોડના ખર્ચનો અંદાજ'આ બાબતે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, કોમનવેલ્થનું બજેટ ઘણીબધી બાબતો પર આધારિત છે. હવે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો કોન્સેપ્ટ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે. આજે એરપોર્ટ સર્વિસીસ પણ પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચાલે છે. એટલે કેટલા સરકાર કરશે અને કેટલા પ્રાઈવેટ સેક્ટરમાંથી થશે તેના પર બજેટનો આધાર છે. 2010માં કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં થઈ જેમાં અંદાજિત બજેટ 10 હજાર કરોડ હતું, ઘણાં લોકો હજુ આને ઓછું બજેટ ગણે છે. કેમ કે એમાં જે દિલ્હી કોર્પોરેશને જે કામો કર્યા હોય રોડ પહોળા કર્યા હોય, ફ્લાય ઓવર્સ કર્યા હોય, જે - તે એજન્સીએ કર્યા હોય, એ બધાનો આમાં સમાવેશ થતો નથી એટલે બધું જ થઈને 30 થી 35 હજાર કરોડ રૂપિયા 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં ખર્ચાવા જોઈએ. 'હોટલ, ટુરિઝમ, એરલાઈન્સ ક્ષેત્રના વિકાસને વેગ મળશે'કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી લગભગ બધા જ સેક્ટરને લાભ થશે, એક તો એના કારણે ખૂબ ટુંકાગાળા માટે રમતો તો રમાવાની પરંતુ ખુબ લાબાંગાળાનું ઈન્ફાસ્ટ્રક્ચર અહીંયા ઉભું થશે. કોમનવેલ્થ ગેમ્સને લઈને ટુંકાગાળામાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપ થશે જેના કારણે ઈન્વેસ્ટમેન્ટ આવશે અને લેબર, એડવાન્સ ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ઉભી થશે. રમત-ગમતના લેટેસ્ટ સ્ટેડિયમ બનશે, હોટલોમાં ઘરાકી વધશે, એરલાઈન્સની ફ્રીક્વન્સી વધશે એ રીતે એની જે સ્નોબોલિંગ(ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરે) ઈફેક્ટ કહેવાય ને એ રીતે વિવિધ રીતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને એના થકી દરેક એક્ટિવિટી જનરેટ થશે.ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો ઘણો વિકાસ થયો છે જેના કારણે હોટલ ઉદ્યોગ પણ વિકસ્યો છે. કોમનવેલ્થના કારણે તેમાં વધારો થશે. 'અંદાજિત 3 લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા'રોજગારીની વાત કરીએ તો જેટલી કલ્પના કરીએ તેટલી ઓછી છે, હાલમાં મારા માનવા પ્રમાણે 6 ટકાના દરે જીડીપી વધે છે તો એમ્પ્લોયમેન્ટ પણ એ રીતે વધશે. કામચલાઉ રોજગારીની વાત કરીએ તો અસંખ્ય રોજગારી વધશે.2030માં કોમનવેલ્થ આવવાની હોય તો 2028 સુધીમાં બધું ટ્રાયલ સ્ટેજ પર આવી જવું જોઈએ. એટલે ત્રણ વર્ષ રહ્યા. એક કરોડે 10 માણસ ગણીએ તો 30 હજાર કરોડે 3 લાખ લોકોને જુદી-જુદી કેટેગરીમાં રોજગારી મળે. અને હું કન્સ્ટ્રક્શનને કામચલાઉ રોજગારી નથી ગણતો કેમ કે દિલ્હીમાં કન્સ્ટ્રક્શન હાલમાં પણ બંધ નથી થયું ઉપરથી કન્સ્ટ્રક્શન વધ્યું છે એટલે લાંબાગાળે એમ્પ્લોયમેન્ટ વધશે ઓછું નહીં થાય. 'કોમનવેલ્થના આયોજનથી ફાયદો થવાની શક્યતા વધુ છે' કોમનવેલ્થથી આર્થિક મુશ્કેલીઓ આવશે કે કેમ? આ અંગે જયનાયાણ વ્યાસે કહ્યું કે, ના, જરાય નહીં આવું કંઈ થાય નહીં, કોમનવેલ્થ ગેમ્સ ચાલે એ દરમિયાન ગેમ્સનો બધો જ ખર્ચો વસુલ થઈ જાય તો એ શક્ય નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જુઓ એ પહેલા જ દિવસથી એનો ખર્ચો વસુલ થઈ ગયો એમાં ચાર મેચ રમાઈ એટલે કંઈ ખોટમાં નથી ગયા. આ લાંબાગાળાનું રોકાણ છે એટલે ફાયદો જ થાય દિલ્હીમાં કોમનવેલ્થ ગેમના આવવાથી ફાયદો જ થયો છે નુકસાન થયું નથી. 'સરકારે જરુર હોય તે જ ખર્ચ કરવો, અન્ય કામ પીપીપી મોડલથી કરી શકાય'ખર્ચ અંગે કહ્યું કે, ખર્ચાના જુદા-જુદા મોડલ્સ છે, સરકારે જ્યાં પોતે કરવાં જેવું હોય તેમાં જ પડવું જોઈએ બાકી તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ અમુક પ્રાઈવેટ સેક્ટરને આપવું જોઈએ અને માત્ર કન્સ્ટ્રક્શન સવલતો ઉભી કરવાનો સવાલ નથી એની નિભાવણી પણ કરવી જ પડશે, એટલે તેની નિભાવણી પણ કરવી પડશે એટલે સરકારે ભવિષ્યના લાભ માટે તેની નિભાવણી પણ કરવી જોઈએ. એટલે જો સરકાર જો એરપોર્ટ માટે પ્રાઈવેટ પાર્ટનરશીપ કરતી હોય તો એ પણ હિતાવહ નથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી થાય તો સરકારે મિનિમમ રોકાણ કરવું જોઈએ. સરકારે હેલ્થ, એજ્યુકેશન અને પાણી, રસ્તા માટે કરવું જોઈએ. કોમનવેલ્થની યજમાની મળવાને લઈ દિવ્ય ભાસ્કરે ઇકોનોમિ એક્સપર્ટ યમલ વ્યાસ સાથે પણ વાતચીત કરી હતી. ફક્ત રમતગમત માટે જ 5 હજાર કરોડોનો ખર્ચ થઈ શકે- યમલ વ્યાસયમલ વ્યાસે કહ્યું હતું કે, અમદાવાદમાં કોમનવેલ્થના આયોજના માટે જે રમતગમતનું માળખું તૈયાર થશે તેની પાછળ જ અંદાજિત 5 હજાર કરોડના ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ જે ખર્ચ થશે તે અલગ હશે. કોમનવેલ્થ આવતા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો થશે. હોટલ, રસ્તા, ફ્લાયઓવર, મેટ્રો, બસ સહિતની સુવિધામાં વધારો થશે.જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચ,. ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ, હોટલ ક્ષેત્રને બુસ્ટ મળશે. 'કોમનવેલ્થના આયોજનથી સરકારને કોઈ નુકસાનીની શક્યતા નથી'ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે યજમાન દેશોની સરકારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, યમલ વ્યાસનું કહેવું છે કે, અમદાવાદમાં જે ઈન્ફ્રા્સ્ટ્રકચર તૈયાર થશે તે લાંબા ગાળે લાભ આપનારું બની રહેશે. ખેલાડીઓ અને સ્ટાફ માટે જ રહેઠાણ બનાવવામાં આવશે તે ગેમ્સ બાદ જરુરિયાતમંદ લોકોને રહેવા માટે વેચી આવક ઉભી કરી શકાશે. 'હું માનું છું કે, દિલ્હી જેવો ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં થાય'યમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં વર્ષ 2010માં જે કોમનવેલ્થનું આયોજન કરાયું હતું તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો. હું માનું છું કે, ગુજરાતમાં તો આવું નહીં જ થાય. છેલ્લા25 વર્ષમાં નથી થયું એટલે હવે પણ નહીં થાય. દિલ્હીની માફક અમદાવાદની બદલાશે તસવીરઈન્ડિયામાં વર્ષ 2010માં પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્હીમાં થયું હતું. જે 1982 એશિયાડ બાદનું સૌથી મોટું આયોજન હતું. જે બાદ હવે ભારતમાં બીજીવાર 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ઈન્ડિયાને મળી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ શહેર કરશે. 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે વધુ ચર્ચામાં રહ્યું. પરંતુ, કોમનવેલ્થ સમયે દિલ્હીમાં જે કામો થયા તેને ભૂલવા ન જોઈએ. જેની યાદી નીચે મુજબ છે. મેટ્રો રૂટ લંબાવવાની તૈયારી આ વાત દિલ્હીની થઈ હવે વાત અમદાવાદની કરીએ. અહીં તો વિકાસ કામગીરી અવિરત ચાલી જ રહી છે. શહેરમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ, મેટ્રોની કામગીરી ચાલી રહી છે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી જ્યાં ગ્રાઉન્ડ તૈયાર કરાશે ત્યાં સુધી પહોંચવા માટે માળખાગત સુવિધા ઉભી કરાશે. અમદાવાદ મેટ્રોને લંબાવીને ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં મેટ્રોના રૂટને લંબાવવાની તૈયારી કરી દેવામાં આવી છે. રસ્તાના વાઈડનીંગના કાણ પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. હોટલમાં 3000 રૂમનો વધારો થવાની શક્યતા2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ દેશ વિદેશના મહેમાનોને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ગુજરાતમાં વર્ષોથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, રણોત્સવ જેવી ઈવેન્ટ થતી હોય અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલની હોટલ ઉપલબ્ધ છે. પરંતુ, કોમનવેલ્થ દરમિયાન દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ખેલાડી અને લોકો આવવાના હોય ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલની ડીમાન્ડ વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2025માં થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર કેટેગરીની જે હોટલ છે તેમાં રૂમની સંખ્યા 5420 છે. જેમાં આગામી પાંચ વર્ષમાં 3000 રૂમ વધારવાનું આયોજન છે. જે રૂમની કેપેસિટી વધારવામાં આવશે તેમાં 1500 રૂમ ફાઈવ સ્ટાર કેટેગરીના જ હશે. હોટલ ઓક્યુપેન્સીમાં 20 ટકા સુધીનો ફેર જોવા મળશેહોટલ એન્ડ રેસ્ટોરન્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ આવી ઇવેન્ટ થાય ત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ, ટુરીઝમ આ બધાને ઘણો ફાયદો થતો હોય છે. જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને ત્યાં સુધી જુદા જુદા રાજ્ય અને દેશોમાંથી લોકોની મૂવમેન્ટ શરૂ થઈ જતી હોય છે. જેથી કોમનવેલ્થ ગેમ્સ યોજાય એ પહેલા પણ હોટલની ડિમાન્ડ વધી જવાની છે. હોટલની ઓક્યુપેન્સીમાં 10થી 20 ટકા સુધીનો ફરક જોવા મળી શકે છે. ગુજરાતમાં અલગ અલગ ઇવેન્ટ થતી હોવાથી હોટલની ડિમાન્ડ વધી જ જતી હોય છે. સરકાર ટુરિઝમ પોલિસી લાવી શકેદિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ તે સમયની ટુરિઝમ પોલિસીને લઈને નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, દિલ્હીમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આવી ત્યારે સરકાર દ્વારા ટુરીઝમ પોલિસી લાવવામાં આવી હતી. જેમાં લક્ઝુરિયસ ટેક્સ, સર્વિસ ટેક્સ અને ઇન્કમટેક્સમાં પણ માફી આપવામાં આવી હતી. જેનાથી દિલ્હીમાં મોટા પ્રમાણમાં હોટલો બનાવવામાં આવી હતી. જેથી હવે તે રીતે જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હોટલ ઇન્ડસ્ટ્રી માટે ટુરિઝમ પોલિસી લાવી શકે છે. જે લોકો મોટી મોટી હોટલ ઊભી કરવા માંગતા હશે તેમને છૂટછાટ મળી શકે છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ તો એક મહિના માટે રહેશે પરંતુ ત્યારબાદ પણ ચાલવાની હોય છે. જેથી કોઈ પોલિસી આવે તો લોકો જોડાતા હોય છે. કોમનવેલ્થ ગેમ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જેના કારણે બીજી પણ અલગ અલગ ટુર્નામેન્ટ અમદાવાદમાં થઈ શકે છે. જેથી હોટલ અને ટુરીઝમ ઉદ્યોગને વેગ મળવાનો છે. 2030 સુધીમાં અમદાવાદમાં નવી હોટલો ખુલશેવધુમાં નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા 25 ટકા સુધી હોટલમાં વધારો જોવા મળી શકે છે. જે બ્રાન્ડની હોટલ અમદાવાદમાં નથી તે લોકો પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. તેમજ લક્ઝરીયસ બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલશે. એરપોર્ટ પાસે અદાણી ગ્રુપની બે હોટલ ખોલવાની તૈયારીઅમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવા જઈ રહ્યું છે. જેમાં 700થી 800 રૂમની કેપેસિટી રાખવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ એ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેનું એપિસેન્ટર ગણી શકાય છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે જે પણ મેદાન બનવાના છે તે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ જ બનવાના છે. જેથી મેદાન સ્થળ સુધી પહોચવા માટે સૌથી સરળ અને નજીકનું કોઈ લોકેશન હોય તો તે અમદાવાદ એરપોર્ટ છે. જેથી અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવાની તૈયારી કરવામાં આવી છે. ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ હોટલો ખોલશેમાત્ર હોટલમાં વધારો થઇ શકે તેવું પણ નથી અનેક મોટી મોટી બ્રાન્ડ અને મોટા મોટા ગ્રુપ પોતાની હોટલ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ખોલી શકે છે. દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ તે બાદ અનેક મોટી મોટી બ્રાન્ડ દ્વારા તેમની હોટલ દિલ્હીમાં ખોલવામાં આવી હતી. તેવું જ અમદાવાદમાં પણ થઈ શકે છે. લક્ઝરીયસ બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલી શકે છે. સરકાર પાસે માંગ કરતા નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રોકાણના આધારે ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવે, 7થી 8 વર્ષ માટે બેંકમાં લોન મળે છે જે વધારીને 12થી 15 વર્ષ માટે થાય, GST માં પણ સરકાર માફી આપી શકે છે. જેથી જો આ પ્રકારની ટુરિઝમ પોલિસી લાવવામાં આવે તો હોટલ બનાવનારને ફાયદો થાય અને તો જ 2030 સુધી નવી હોટલો ખુલી શકે છે. રોજ નવી નવી ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં અને ગુજરાતમાં આવી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ છે. જેથી હોટલ બિઝનેસમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. ફિલ્મ ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ થવાથી પણ હોટલ અને ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં 50 ટકા વધારાની શક્યતાકોમનવેલ્ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની જવાની છે. દિલ્હીની રોનક જેમ કોમનવેલ્થ ગેમ્સ કારણે બદલાઈ એમ અમદાવાદની રોનક પણ બદલાઈ જવાની છે. ટુરિઝમ ક્ષેત્રના એક નવા યુગની શરૂઆત પણ થઈ શકે છે. ટુરિઝમ ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતા એક્સપર્ટ લોકો કોમનવેલ્થ ગેમ્સના કારણે ગુજરાત ટુરિઝમમાં 50 ટકા સુધીનો વધારો જોઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં 72 દેશના ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમજ ખેલાડીઓની સાથે સાથે મેનેજમેન્ટ સ્ટાફ, કોચ, ટેકનિકલ ઓફિસરો સહિતના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. જેના કારણે ગુજરાતની અને અમદાવાદની એક છાપ વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત થવાની છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 બાદ પણ ફરી ખેલાડીઓ સહિતના લોકો કોઈને કોઈ ઇવેન્ટ માટે અમદાવાદ આવે અથવા ગુજરાતના સ્થળો જોવા માટે પણ ફરી ગુજરાત આવે તેવા પ્રયાસ ચોક્કસથી થવાના છે. જેના માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની ટુરિઝમ ક્ષેત્રને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે- આલાપ મોદીઆ કોમનવેલ્થ ગેમ્સ 2030થી ટુરિઝમ ક્ષેત્રને કેટલો ફાયદો થવાનો છે તે જાણવા માટે અમે ટુરિઝમ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા આલાપ મોદી સાથે વાતચીત કરી છે. તેમના મતે કોમનવેલ્થ ગેમ્સ 2030ના કારણે રમત જગતમાં જ નહીં પરંતુ ટુરિઝમ ક્ષેત્રને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશેએક સમય હતો કચ્છને કોઈ ઓળખતું પણ નહતું લોકો ત્યાં જવાનું પસંદ પણ કરતા નહતા. પરંતુ આજે કચ્છ રણોત્સવની વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે. તે જ રીતે કોમનવેલ્થ ગેમ્સના કારણે બુલેટ ટ્રેન, એરપોર્ટ સહિત રોડ રસ્તાઓનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરવામાં આવશે. જે લોકો અમદાવાદ આવશે તે આસપાસના વિસ્તારના રહેલા જોવા લાયક સ્થળોની પણ મુલાકાત લેવાના છે. જેનાથી ગુજરાતની અને અમદાવાદની એક ઓળખ વિશ્વભરમાં ઊભી થશે. અત્યારે સમયમાં દિવસોમાં ડોમેસ્ટિકમાં 70 ટકા લોકો અને ઇન્ટરનેશનલ 20થી 30 ટકા ગુજરાતના પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે. પરંતુ કોમનવેલ્થ ગેમ્સ 2030 આ ટકાવારીમાં 50 ટકા સુધીનો વધારો કરી છે. એટલે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે 20થી 30 ટકા આવે છે તે આગામી 2030 પછી 50 ટકા સુધી ગુજરાતમાં સ્થળોની મુલાકાત માટે આવી શકે છે. અત્યારે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છ રણ ઉત્સવની જેમ વિશ્વભરમાં ચર્ચા થાય છે, લોકો દેશ વિદેશમાંથી જોવા માટે ગુજરાત આવે છે એમ અન્ય સ્થળો પણ દેશ વિદેશમાંથી આવતા લોકોની પસંદ બની શકે છે. અજય મોદી ટ્રાવેલ્સના માલિક આલાપ મોદીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ સમયે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ ગઈ હશે, ધોલેરાનું એરપોર્ટ શરૂ થઈ ગયું હશે, રોડ રસ્તાનું નેટવર્ક પણ વધી જશે તેનો ફાયદો થવાનો છે. કારણ કે કોમનવેલ્થ ગેમ્સ થોડા દિવસ માટે થશે પરંતુ તે બાદ વિશ્વ કક્ષાએ અમદાવાદનું નામ લોકો સુધી પહોંચી જશે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ગુજરાતના પ્રખ્યાત સ્થળોની વિશ્વ કક્ષાએ ચર્ચા થશે. જેના કારણે ડોમેસ્ટિક ટુરિઝમ તો છે જ પરંતુ તેની સાથે સાથે ઇન્ટરનેશનલ ટુરિઝમ પણ ખૂબ વધી જશે. અમદાવાદ એરપોર્ટ પર કેવા ફેરફાર થશે?દિલ્હીમાં જ્યારે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું તે પહેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રૂ. 12,700 કરોડના ખર્ચે ટર્મિનલ-3 (T3)નું નિર્માણ કરાયું હતું. જે આજે પણ ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે.હવે 2030માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કયા કયા એરપોર્ટનો ઉપયોગ થશે તેને લઈ અત્યારથી જ આયોજન શરૂ કરી દેવાયું છે. અમદાવાદ ઉપરાંત ખેલાડીઓ અને મુસાફરોની અવરજવર માટે વડોદરા અને સુરતના એરપોર્ટનો ઉપયોગ થશે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રકશન ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ફેઝ-1ની કામગીરી પૂર્ણ થતા તેનો પણ ઉપયોગ કરી શકાશે. કોમનવેલ્થના કારણે કેટલી રોજગારી પેદા થવાની શક્યતા?અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લીલીઝંડી મળતા અત્યારથી જ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો શરૂ થઈ જશે. જેના કારણે રોજગારીમાં વધારો થશે. 2010માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં એક અંદાજ મુજબ અઢી લાખથી વધુ નોકરીઓ પેદા થઈ હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈ રોજગારીમાં કેટલો વધારો થઈ શકે છે તે જાણવા અર્થશાસ્ત્રના જાણકાર જયનારાયણ વ્યાસ સાથે વાતચીત કરી હતી. જયનારાયણ વ્યાસના જણાવ્યા પ્રમાણે રોજગારની વાત કરીએ તો કલ્પના કરીએ તેટલી ઓછી છે. જે રીતે 6 ટકાના દરે જીડીપી વધી રહ્યો છે તે રીતે એમ્પલોયમેન્ટ પણ વધશે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે 2028માં સુધીમાં તમામ ટ્રાયલ સ્ટેજ સુધી લાવવું પડે.કોમનવેલ્થને લઈ અંદાજિત 3 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થવાની શક્યતા છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર ભારતના ખાસ કરીને ગુજરાતી બૌદ્ધિકો ચર્ચા કરતા હોય છે કે બોલિવૂડના કલાકારો જે પક્ષ કેન્દ્રમાં હોય એમના તરફી હોય છે. હોલિવૂડના કલાકારોની જેમ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્ટેન્ડ નથી લેતા, જાહેરમાં બોલતા નથી અને તેઓ સ્વાર્થી છે. બોલિવૂડના લોકો હોલિવૂડના કલાકારોની જેમ સામાજિક અને રાજકીય નિસ્બત ધરાવતા નથી વગેરે વગેરે. વાતમાં અમુક અંશે તથ્ય પણ છે અને હોલિવૂડના કલાકારોની સામાજિક નિસ્બતની વાત નીકળે તો અમેરિકન એક્ટર 'કાલ પેન'ની વાત કરવી જ પડે. ન્યૂજર્સીમાં જન્મ13 એપ્રિલ, 1977ના ન્યૂજર્સીના મોન્ટેકલાઇરમાં કલ્પેન સુરેશ મોદી તરીકે જન્મ લેનાર અને વ્યવસાયિક રીતે કાલ પેન તરીકે જાણીતા એક અમેરિકન અભિનેતા, લેખક અને બરાક ઓબામા વહીવટી તંત્રમાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્ટાફ સભ્ય છે. જો કે આ ઓળખ બહુ સીમિત છે એટલું બધું કામ વિવિધ ક્ષેત્રે કાલ્પેને કર્યું છે. હોલિવૂડના દરવાજા ખોલી આપ્યાગુજરાતી મૂળના અને ગુજરાતથી અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે વસનારા માતા-પિતાના સંતાન એવા કલ્પેન મોદી ગુજરાતી સરસ બોલી શકે છે અને નાનપણથી ગુજરાતની વારંવાર મુલાકાત પણ લે છે. ખેડા જિલ્લાના અને એન્જિનિયર એવા પિતા સુરેશ ગાંધી અને વડોદરાના અસ્મિતા ભટ્ટના પુત્ર એવા કલ્પેને ભારતીય મૂળના કલાકારો માટે એવા સમયે હોલિવૂડના દરવાજા ખોલી આપ્યા. 2004નું વર્ષ હતું, જ્યારે મોટાભાગની હોલિવૂડ ફિલ્મોમાં મુખ્યત્વે શ્વેત કલાકારો હતા, આજે પણ છે તેના કરતાં પણ વધુ અને એવા માહોલમાં 'હેરોલ્ડ કુમાર ગો ટુ વ્હાઇટ કાસલ' નામની ફિલ્મમાં બે એશિયન કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા- જોન ચો અને કાલ પેન. આ ફિલ્મ એટલી બધી સફળ રહી કે એ જ નામ પરથી બીજી બે સિક્વલ બની જેને ફિલ્મના કલાકારોને રાતોરાત વૈશ્વિક કક્ષાએ જાણીતા બનાવી દીધા અને અભૂતપૂર્વ સ્ટારડમ અપાવ્યું. અને પેન, આપણો ગુજરાતી મૂળનો અમેરિકન તેણે પોતાની ખ્યાતિનો ઉપયોગ પોતાના માટે એક અનોખી કારકિર્દી બનાવવા માટે કર્યો. ખ્યાતિ, નામ અને વગનો રાજકીય-સામાજિક કામોમાં ઉપયોગ કર્યોએક અભિનેતા તરીકે તેઓ હેરોલ્ડ એન્ડ કુમાર ફિલ્મ શ્રેણીમાં કુમાર પટેલ, ટેલિવિઝન કાર્યક્રમ હાઉસમાં લોરેન્સ કુટનર, ડેઝિગ્નેટેડ સર્વાઇવરમાં વ્હાઇટ હાઉસના સ્ટાફર સેથ રાઇટ અને હાઉ આઇ મેટ યોર મધરમાં રોબિનના બોયફ્રેન્ડ અને મનોવિજ્ઞાની કેવિન જેવા પાત્રો માટે જાણીતા અને લોન્લી આઇલેન્ડ, માલિબુઝ મોસ્ટ વોન્ટેડ, સુપરમેન રિટર્ન જેવા અમેરિકાન શોઝમાં કામ કર્યા પછી કલ્પેન મોદી બેસી નથી રહ્યાં. એમણે પોતાની આ ખ્યાતિ, નામ અને વગનો ઉપયોગ રાજકીય અને સામાજિક કામોમાં કર્યો. 2016 થી 2019 સુધી અમેરિકન રાજકીય સિરીઝ ડેઝિગ્નેટેડ સર્વાઇવરમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સેથ રાઇટની ભૂમિકા ભજવનાર કાલ પેને પોતાના આ રોલને કદાચ સિરિયસલી લઇ લીધો અને એશિયન પેસિફિક અમેરિકનો અને કલા સમુદાયો સુધી પહોંચવા માટે સંપર્ક તરીકે વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એન્ગેજમેન્ટમાં એસોસિયેટ ડિરેક્ટર તરીકે ઓબામા વહીવટીતંત્રમાં જોડાયા. ઓબામાના ચૂંટણી અભિયાનમાં સહ-અધ્યક્ષ રહેલા કાલ પેનને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પબ્લિક એન્ગેજમેન્ટ એન્ડ ઇન્ટર ગવર્નમેન્ટ અફેર્સના એસોસિયેટ ડિરેક્ટરનું પદ ઓફર કરવામાં આવ્યું હતું. જે તેમણે સ્વીકાર્યું. ઉપરાંત 2025 ન્યૂયોર્ક સિટી ડેમોક્રેટિક મેયરલ પ્રાઇમરી દરમિયાન પેન ઉમેદવાર જોહરાન મમદાની માટેની રેલીઓમાં પણ એમના સપોર્ટર તરીકે દેખાયા હતા. કાલ્પેનની સ્મરણકથા રાજકારણમાં ડેમોક્રેટિક મૂલ્યો તરફ જેનો ઝોક વધારે રહ્યો છે એવા 44 વર્ષના કલ્પેન મોદીએ You Can’t Be Serious નામની સ્મરણકથા લખી છે જે અમેરિકન-ગુજરાતીની વ્યક્તિગત અને કારકિર્દીની રસપ્રદ સફરનો દસ્તાવેજ છે. મીરા નાયરની, ઝુમ્પા લાહિરીની નવલકથા ધ નેમ સેક પરથી એ જ નામે બનનાર હોલિવૂડ પ્રોડક્શનમાં ઇમિગ્રન્ટ્સ માતા પિતાના સંતાનનો રોલ ખૂબ અસરકારક રીતે ભજવનાર કાલ પેન એટલે કે આપણો ગુજ્જુ ભાઇ કલ્પેન સુરેશભાઇ મોદી પોતાની સામાજિક નિસ્બત માટે, ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય રહેલા એવા એના દાદા દાદીને આપે છે અને આમ જાણે નિયતિનું એક ચક્ર પૂરું થાય છે.
ઠંડીમાં છોકરાંવને લઈને ક્યાં જઈએ? અમારું ઘર જ હવે આ રિક્ષા છે અમારી પાસે અત્યારે ગેસ, ચુલો કે ઘર કંઈ જ નથી. બાજુમાં આવેલા સરકારી શૌચાલયમાં અમે ન્હાવા જઈએ છીએ મારી તિજોરી, પલંગ, ટીવી બધું કાટમાળ નીચે દબાઈ ગયું છે, અત્યારે ફૂટપાથ પર પડ્યા રહીએ છીએ આ શબ્દો છે ઈસનપુર તળાવ આસપાસ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા લોકોના. ઈસનપુર તળાવ આસપાસના એક હજાર મકાનો તોડી પાડ્યા પછી અમે બેઘર બની ગયેલા લોકોની વેદના સાંભળવા ભાસ્કરની ટીમ પહોંચી... છ મહિના પહેલા એપ્રિલ અને મે મહિનામાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલીશન કરાયું. હવે છ મહિના બાદ ચંડાળાની બાજુમાં જ આવેલા ઈસનપુરના તળાવ વિસ્તારમાં 24 નવેમ્બરના રોજ બીજું મોટું મેગા ડિમોલીશન કરાયું છે. જેમાં તળાવની આસપાસ અંદાજે એક હજાર જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા અને અંદાજીત 90 હજાર ચો.મી. જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. જોકે અમદાવાદ કોર્પોરેશને અગાઉથી જ અહીંના લોકોને મકાન તોડી પાડવાની નોટિસ આપી દીધી હતી અને ઘર ખાલી કરવા માટે સમય પણ અપાયો હતો. છતાં મોટાભાગના લોકોએ મકાન ખાલી ન કર્યું અને અંતે 24 નવેમ્બરની સવારે AMCનું બુલડોઝર ઈસનપુરના તળાવ વિસ્તારમાં પહોંચી ગયું. 1000 લોકોના મકાનો પર ફરી વળ્યું. ભાસ્કરની ટીમ ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા જાણવા ઈસનપુરના તળાવ વિસ્તારમાં પહોંચી જ્યાં કેટલીક ચોંકાવનારી માહિતી મળી. અમે અહીં પહોંચ્યાં તો લોકો તેમના ઘરના તૂટેલા કાટમાળમાંથી ભંગાર કાઢી રહ્યા હતા. જેથી તે ભંગાર વેચીને તેમને થોડા રુપિયા મળી શકે. અહીંના અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, અહીં ઘણા લોકો એવા પણ રહેતા હતા જેમના મકાન ચંડોળા તળાવના મેગા ડિમોલીશનમાં તૂટી ગયા હતા. ઘર વિહોણાં બાળકોની વેદના આ તસવીરોમાં દેખાય છે... આ લોકોના મકાન 6 મહિના પહેલાં ચંડોળામાં તૂટી જતાં અહીં ભાડેથી રહેતા હતા. કોઈ 3 હજારના ભાડામાં તો કોઈ 5 હજારના ભાડામાં અહીં રહેતા હતા. 6 મહિનામાં 2-2 વખત તેમના ઘર પર આ રીતે બુલડોઝર ફરી વળતાં લોકો હવે લાચાર અને હતાશ થઈ ગયા છે. 6 મહિલા પહેલા જે સ્થિતિમાં હતા, જે રીતે રોડ પર રાત વિતાવી, જે રીતે અનાજના દાણો મળવો મુશ્કેલ થઈ ગયો હતો તેવી જ સ્થિતિ હાલમાં આવીને ઊભી છે. કારણ કે, જ્યારે ચંડોળામાં ઘર તૂટ્યા ત્યારે તેમનો સામાન પણ લેવા નહોતો લીધો પછી માંડ માંડ રુપિયા ભેગા કરીને ડીપોઝીટ જમા કરાવીને અહીં ભાડેથી મકાન મળ્યું હતું અને 6 મહિનાથી રહેતા હતા. હવે ફરી મકાન શોધીને ક્યાં રહેવા જવું તે ચિંતા તેમને સતાવી રહી છે. મકાન મળી પણ જાય તો હવે આ લોકો પાસે એટલા રુપિયા પણ નથી કે કોઈ જગ્યાએ ભાડાનું મકાન રાખીને ડીપોઝીટ જમા કરાવી શકે. AMC અને તેના અધિકારીઓએ આ લોકોને મકાન ખાલી કરવાનો પુરતો સમય આપ્યો હતો, પરંતુ આ લોકો અલગ અલગ કારણોસર મકાન ખાલી નથી કરી શક્યા. આવા જ એક અસરગ્રસ્ત યોગેશભાઈ અને હીનાબેનને મળ્યા. આ પતિ-પત્ની તેમના બે છોકરાને લઈને તેમની ભાડની રિક્ષામાં લાચાર બેઠા હતા. અમારી સાથે વાત કરતાં હીનાબેન સોલંકીએ જણાવ્યું કે, અમારા ઘરનું ટીવી,ફ્રીઝ, તિજોરી સહીતનો બધો જ સામાન અહીં કાટમાળમાં દટાઈ ગયો છે. ફક્ત ગાદલાં અને બે ચાર વાસણો બચ્યા છે, જે અમારી ભાડાની રિક્ષામાં રાખીને બેઠા છીએ. હીનાબેને અમને રડતાં રડતાં જણાવ્યું કે, અમને પહેલી નોટિસ દીવાળી પહેલાં મળી હતી. બાદમાં બીજી નોટિસ દીવાળી પછી મળી અને ઘર ખાલી કરવાનું કહ્યું. પરંતુ અમે ન કર્યું. અમને એવું હતું કે, ચંડોળામાં અમારું મકાન તોડ્યું તો હવે સરકાર ફરીથી થોડી અમારી સાથે આવું નહિ કરે. પરંતુ ફરી નોટિસ મળી અને 24 નવેમ્બરે અચાનક બુલડોઝર આવ્યું અને ઘરનો સામાન પણ લેવા ન દીધો. સામાન સહિત આખું ઘર તોડી પાડ્યું. આ ઠંડીમાં અમારા 2 નાનાં છોકરાઓને લઈને ક્યાં રહેવા જઈએ? હાલમાં તો આ કાટમાળમાંથી લોખંડ ભંગાર કાઢીને વેચીએ છીએ. જેથી હાલમાં અમારા બે ટંક જમવાનો ખર્ચો નીકળી શકે. ચંડોળામાં અમારું મકાન તૂટી ગયું એટલે અમે આ મકાન પાંચ હજારમાં ભાડે રાખ્યું હતું. મારો એક છોકરો 1 વર્ષનો છે અને એક છોકરી પોણા ત્રણ વર્ષની છે. મારા ઘરવાળા આ ભાડાંની રિક્ષા ચલાવે છે. રિક્ષાનું રોજનું 350 રુપિયા ભાડું છે. અત્યારે રિક્ષામાં ઘરનો સામાન પડ્યો છે. તો મારા ઘરવાળા ક્યાંથી રિક્ષા લઈને શટલ મારવા જાય? રિક્ષાનું રોજનું 350 રુપિયા ભાડું ક્યાંથી ભરીએ? અત્યારે રિક્ષાનો માલિક રોજ ભાડાં માટે ફોન કરે છે પણ હાલમાં અમારા જ ખાવાના ફાંફાં છે તો ભાડું ક્યાંથી આપીએ? હવે અમને કોઈનાથી કોઈ જ આશા નથી બસ આવી જ રીતે બાળકોને લઈને રોડ પર ભટકીશું. હાલ તો અમારી પાસે એક પણ રુપિયો નથી તે અમે ભાડે મકાન પણ નહિ રાખી શકીએ. હાલમાં તો અમારો સહારો આ ભાડાંની રિક્ષા જ છે આમાં જ રહીશું. મને એમ થાય છે કે, આ સરકાર અમીરોની ચિંતા કરે છે તો અમારા જેવા ગરીબોની ચિંતા કેમ કરતી નથી? આવા જ એક અસરગ્રસ્ત ચંડોળાથી આવીને અહીં રહેતા જ્યોત્સનાબેનને મળ્યા. તેમણે વાતચીત કરતાં જણાવ્યું કે, મારા સસરાની ત્રણ પેઢીઓથી અમે ચંડોળા તળાવમાં રહેતા હતા. મને લગ્ન કરીને અહીં આવ્યે 40 વર્ષ થઈ ગયા. ચંડોળામાં મારા છોકરાના અમારા પોતાના મકાનો હતો જે તોડી પડાતાં છ મહિનાથી અમે અહીં પાંચ હજારમાં ભાડે રહેતા હતા. અમારી શાકભાજીની લારી ચલાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. હાલમાં અમારી પાસે કોઈ એટલા બધા રુપિયા નથી. અમે રોજનું કમાઈને રોજ ખાનારા લોકો છીએ. અમારી પાસે બચતમાં કોઈ રુપિયા ના હોય. હાલમાં આ ભંગાર વેચીને વીસ-ત્રીસ રુપિયાનું બહારથી સસ્તું મળતું ખાવાનું લાવીને બાળકોને ખવડાવીએ છીએ અને બચેલું ખાવાનું અમે ખાઈએ છીએ. જેમનું આ રીતે મકાન તૂટે ફક્ત તે લોકોને જ ખબર પડે કે મકાન વગર કેવી રીતે રહેવાય. બે ટાઈમનું જમવાનું ક્યાંથી લાવીએ? ખાઈએ ત્યારે ખબર પડે કે ખાવાની અને માથે છતની કિંમત શું છે. અમારી પાસે અત્યારે ગેસ, ચુલો કે ઘર કંઈ જ નથી. બાજુમાં આવેલા સરકારી શૌચાલયમાં અમે ન્હાવા જઈએ છીએ. અમે હાલમાં ભીખ માંગવા જઈએ તો કોઈ અમને ભીખ પણ ના આપે. અમારી હાલત જોઈને કહે કે તમે કમાઈ શકો તેવા છો, શેની ભીખ આપવાની? એટલે ભીખ પણ નથી માંગી શકતા. મારા ઘરમાં મારા ઘર વાળા અમારા ત્રણ છોકરા, 2 પુત્રવધુ તેમના નાના છોકરાઓ સહીત કુલ 10 લોકોનો પરીવાર છે. હવે અમને 10 લોકોના પરિવારને કોણ ભાડે મકાન આપે? પાંચેક લોકોથી વધારે પરિવારને કોઈ ભાડાનું મકાન આપતું પણ નથી. બધાએ અલગ અલગ મકાન રાખીને પાંચ-પાંચ હજાર ભાડું ભરીએ ત્યારે કંઈક મેળ પડે. પહેલા ચંડોળા અને હવે ઈસનપુર છ મહિનામાં અમારી સાથે આવું બે વખત થતા અમારી પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમે એકલા હોય તો મરી પણ જઈએ પરંતુ આ અમારા નાનાં નાનાં છોકરાની સામે જોઈને કંઈ કરતા નથી તેમના માટે જીવવું પડે છે. અનિતાબેન જણાવે છે કે, મારા સાસુ સસરા 50 વર્ષથી ચંડોળામાં રહેતા હતા. છેલ્લા 25 વર્ષતો મારા લગ્ન કરે થયા ત્યારથી હું પણ ચંડોળામાં રહેતી હતી. એ વખતે ચંડોળામાં બાંગ્લાદેશીઓના મકાન તોડવાના હતા, ત્યારે આ લોકોએ અમારું પણ મકાન તોડી નાખ્યું હતું. ચંડોળામાં અમારું મકાન તૂટ્યા બાદ અહીં હું, મારા ઘરવાળા અને ત્રણ છોકરા છ મહિનાથી છ હજાર ભાડામાં અહીં રહેતા હતા. બુલડોઝર આવ્યું એમાં અમારો બધો સામાન અહીં દટાઈ ગયો. અમારી તીજોરી, ટીવી, પલંગ, નાના મોટા દાગીના સહિતનો સામાન અમે લઈ પણ ન શક્યા. મારા ઘરવાળા દારુ પીને પડ્યા રહે છે. ત્રણ છોકરા સરકારી સ્કૂલમાં ભણે છે. અહીં આવ્યા ત્યારે અમને 6 હજાર ભાડું નહોતું પોસાતું. પરંતુ જેમ તેમ કરીને, મજૂરી કરીને ભાડું ભરતા અને અહીં રહેતા હતા. સરકાર ભલે અમને કોઈ મદદ ન કરે પરંતુ અમે જ્યાં રહીએ ત્યાં અમને રહેવા દેવામાં આવે. અમે અમારું જીવન ગમે તેમ કરીને પાર પાડી લઈશું પરંતુ આ રીતે મકાન તોડી બેઘર કરી દેવામાં આવે તો શું કરીએ. મકાન તૂટ્યું ત્યારે મકાન માલિક જોવા આવ્યા હતા પરંતુ તેઓ પણ શું કરી શકે? હવે રોડ પર રહેવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. આ વિસ્તારમાં રહેતા કેટલાક એવા લોકો પણ છે જેમણે સમય રહેતાં ઘર ખાલી કરી દીધું હતું. તેવા જ એક મણીબેન પરમારને અમે મળ્યા. તેમણે જણાવ્યું કે, દોઢ મહિના પહેલા અમને પહેલી નોટિસ મળી હતી, ત્યારે અમે મકાન ખાલી ન કર્યું. એમણે સમય લંબાવ્યો પરંતુ પછી બીજી નોટિસ આપી ત્યારે અમે મકાન ખાલી કરી દીધું અને બધો સામાન લઈને 21 નવેમ્બરે નારોલ રહેવા જતા રહ્યા અને 24 નવેમ્બરે આ લોકોએ બુલડોઝર ફેરવી દીધું. અહીં મારા ત્રણ મકાન હતા. જેમાં મારા છોકરા તેમના પત્ની અને બાળકો સાથે અલગ અલગ મકાનમાં રહેતા હતા. હાલમાં અમે 10 હજારમાં નારોલમાં ફ્લેટ ભાડે રાખ્યો છે. અમે 45 વર્ષથી અહીં રહેતા હતા, મારે ત્રણ છોકરા અને એક છોકરી છે. તેમના પણ નાનાં બાળકો છે. થોડા આગળ જતાં પોતાના તૂટેલા મકાનના કાટમાળના સળીયા કાપતા સુરેશભાઈ દેવીપૂજક નામના એક ભાઈને મળ્યા. તેમણે અમારી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, મારા ઘરમાં મારા માતા પિતા, મારા પત્ની અને અમારા પાંચ છોકરા છે. મારા જન્મથી હું અહીં રહું છું. 6 મહિના પહેલાં અમને પહેલી નોટિસ મળી હતી. બાદમાં હમણા અધિકારીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હજી સુધી તમે લોકોએ મકાન કેમ ખાલી નથી કર્યું? અમે જવાબ આપ્યો કે, અમને કોઈ મકાન આપતું નથી તો ક્યાંથી ખાલી કરીએ અને જ્યાં ભાડે મકાન મળે છે તેનું ભાડું પાંચ હજાર જેટલું હોય છે હવે અત્યારે અમારી કોઈ એટલી બદી કમાણી નથી કે મહીને પાંચ હજાર ભાડું ભરી શકીએ એટલે મકાન ખાલી નહોતું કર્યું. આ લોકોએ દીવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો પરંતુ હાલમાં 24 તારીખે અચાનક આવ્યા અને સામાન પણ ન લેવા દીઓ અને મકાન તોડવાનું શરુ કરી દીધું. AMC અને તેના અધિકારીઓએ અમને મકાન ખાલી કરવાનો પુરતો સમય આપ્યો હતો પરંતુ અમારા મોટા પરીવારને મકાન ન મળે તો અમે શું કરીએ? મકાન માટે સરકારે ફોર્મ ભરાવ્યા છે પરંતુ રુપિયા 3 લાખ જેટલા માંગ્યા છે આટલા બધા રુપિયા અમે ક્યાંથી લાવીને આપીએ?
બીએલઓની તબિયત લથડી:મોરબીમાં SIR કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
રાજ્યભરમાં હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશને પગલે સ્પેશિયલ ઇનીસીએટીવ ઓફ રીવીઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે અને તેમાં મતદારોને લગતી માહિતી માટે દરેક મતદાન બુથ દીઠ એક બુથ લેવલ ઓફિસર નીમવામાં આવ્યા છે અને જેમની પાસે તેમના બુથમાં આવતા મતદારોને ફોર્મ વિતરણ અને તેમના પાસેથી ફોર્મ ભરી ઓનલાઈન કામગીરી કરવાની રહે છે આ કામગીરીમાં ઉપરી અધિકારી દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતા હોવાની અલગ અલગ જિલ્લામાંથી ફરિયાદ ઉઠી છે કેટલીક સ્થિતિમાં બી એલ ઓ આપઘાત કરવા જે વી સ્થિતિએ પહોચી ગયા છે. એક બી એલ ઓને દરરોજ 100 જેટલા ફોર્મ ભરી ઓનલાઈન સબમિટ કરવાની કડક ઉઘરાણીને પગલે મોટાભાગના બી એલ ઓ દિવસમાં ફિલ્ડ વર્ક કરે છે તો મોડી રાત સુધી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરે છે અને આ કામગીરીમાં તેમને મોટા પાયે મુશ્કેલી થઈ રહી છે ત્યારે સતત કામના તણાવને કારણે પણ બીએલ ઓની તબિયત લથડતી હોવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે મોરબીમાં આજે મોરબી પ્રાંત કચેરી ખાતે ફોર્મ સ્ક્રૂટિની કામગીરી વખતે મનીષભાઈ જેઠવા નામના બીએલઓની તબિયત લથડી હતી અને ત્યાં ઢળી પડ્યા હતા. જે બાદ 108ની મદદ લેવામાં આવી હતી અને 108ની મદદથીસ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
મોરબી જિલ્લામાં અવાર નવાર ડીઝલ ચોરીની ઘટના બનતી હોય છે. જોકે વાંકાનેર મોરબી માળીયા હાઈવે વિસ્તારમાં સામાન્ય રીતે હોટેલ બહાર પાર્ક કરેલ ડીઝલ ટેન્ક તોડી તેમાંથી 10 થી 12 લીટર ડીઝલ ચોરી કરતી એક ગેંગ સક્રિય છે તો બીજી એક ગેંગ જામનગર આમરણ માળિયાથી અમદાવાદ હાઈવે પર ડીઝલ ચોર ગેંગ નો તરખાટ છે. જોકે આ ગેંગ દસ બાર લિટર નહી પણ ટેન્કરના ચાલકને સાથે રાખી હજારો લીટર ડીઝલ કાઢી લે છે. આ ગેંગ આ રોડ પર આવેલા ગામડાંમાં કે હાઈવેની નાની મોટી હોટલના પાછળ ભાગે જગ્યા પાર્કિંગ કરી મોટા પાયે ડીઝલ ચોરી કરતા હોય છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ સ્થળે રેડ કરી આ રેકેટ પકડી લાખો ની કિંમતનો ડીઝલ ટેન્કર સહિતનો મુદામાલ જપ્ત કરતી હોય છે તો જોકે ભેજા બાજ દરેક વખતે નવી જગ્યા અને નવા માણસો રોકી રીતસરનું રેકેટ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે માળિયા મીયાણા પોલીસે ચાલુ મહિનામાં બીજી વખત આ રીતે ડીઝલ ચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. અગાઉ સોનગઢ ગામથી ડીઝલ ચોરી પ્રકરણમાં 2 આરોપી ને 18000 લીટર ડીઝલ સાથે પકડી પડયા બાદ આજે ફરી એકવાર માળિયા મીયાણા પોલીસની ટીમ ચોક્કસ બાતમી આધારે પી આઈ કે કે દરબાર અને તેની ટીમ દ્વારા નાના દહિસરા ગામની ફાટક નજીક ખુલ્લા પ્લોટમાંથી જીજે 36 ટી 7536 નંબરના ટેન્કરમાંથી ગેર કાયદેસર ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું. પોલીસે બેરલમાં ડીઝલ ખાલી કરતા મૂળ જામનગરના ઇમ્તિયાઝ સુલેમાન ગજીયા નામના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા જસાપર ગામના હરદેવ રાણાભાઈ છૈયાનું નામ જણાવતા પોલીસે બન્ને શખસ વિરુદ્ધ BNS ની કલમ 3(5) 61(2) A ,110,267,303(1) 317(2)(4) ની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેન્કરચાલક સાથે લિટર દીઠરૂપિયા આપવાનો થયો હતો સોદોજામનગરની રિફાઇનરીથી ટેન્કર ભરીને નીકળેલ ટ્રક ચાલક ઇમ્તિયાઝ સાથે આરોપી હરદેવ છૈયા એ લીટર દીઠ કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી અને આરોપીએ લગભગ 600 લિટર જેટલી ડીઝલ કાઢી લીધું હતું જોકે ચાલકે કેટલા રૂપિયા આપવાના નક્કી કર્યા હતા તે સામે આવ્યું નથી. અગાઉ ડીઝલ ચોરી કરી છે કે કેમ તપાસ ચાલુ છેહાલ ઝડપાયેલા ટેન્કર ચાલકની પૂછ પરછ ચાલી રહી છે ટેન્કર કંપની દ્વારા સીલ કરીને મોકલાતું હોય છે જો તે સીલ ખુલ્લે તો કંપનીને ખ્યાલ આવી જાય છે જેથી આ લોકો કેવી રીતે ડીઝલ ચોરી કરતા હતા અગાઉ ચોરી કરી વેચાણ કર્યું છે કે નહી તેની તપાસ ચાલુ છે હાલ તો પહેલી વખત જ આપ્યા હોવાનું જણાવી રહ્યો છે, તપાસ બાદ હકીકત સામે આવશે તેમ માળિયા મીયાણા પોલિસ સ્ટેશનના પી આઈ કે કે દરબારે જણાવ્યું હતું. મોરબીના વીરપરડા પાસે એસ એમસીએ પકડ્યું હતું ડીઝલ ચોરીનું મોટું રેકેટ2024માં મોરબી તાલુકાના વીર પરડા ગામ નજીક એક હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દરોડો પાડી 21 હજાર લિટર ડીઝલ , કાર ખાલી અને ભરેલા બેરલ સહિત લાખનો મુદામાલ પણ જપ્ત કરાયો હતો આ ઘટના પોલીસે કર્મીની પણ સંડોવણી સામે આવી હતી જે બાદ એસપી પોલીસકર્મીઓ વિરુદ્ધ એકશન લઈ સસ્પેન્ડ કર્યા હતા
જમીનની છેતરપિંડીનો કેસ:હાઈકોર્ટે ખખડાવ્યા; આદેશ પાળ્યો નથી એટલે DSP કોર્ટથી ઉપર છે?
જમીનની છેતરપિંડીના કેસમાં સરકારી અધિકારીએ આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસે ખોટા પુરાવા ઊભા કરીને ચાર્જશીટ ફાઇલ કરતાં હાઈકોર્ટે પોલીસ અધિકારી સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. ડીએસપીએ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે નોકરીમાં ચાલુ રાખતાં હાઈકોર્ટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો. આથી બુધવારે ડીએસપી હાજર થયા હતા. હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોઈ મૌખિક અવલોકન કરે તોપણ પોલીસે તેનું પાલન કરવું જોઈએ તેના બદલે અમે લેખિત હુકમ કર્યા છતાં ડીએસપી પાલન કરતા નથી. જ્યારે ડરામણું અવલોકન કર્યા છતાં ડીવાયએસપીએ જવાબદાર પોલીસવાળા સામે કોઈ પગલાં કેમ લીધાં નથી? તેનો જવાબ આપો. સરકાર તરફે રજૂઆત કરાઈ હતી કે અમે તેમની સામે પગલાં લઈ રહ્યા છીએ જ્યારે હાઈકોર્ટ એમ કહે છે કે જવાબદાર પોલીસવાળા સામે પગલાં લો ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એવું ન કહી શકે કે જે-તે પોલીસવાળાનો વાંક નથી. ડીએસપી કક્ષાના પોલીસવાળા જો હાઈકોર્ટના આદેશનું કહ્યું માનતા નથી તો સામાન્ય નાગરિકોના મનમાં તેની શી છાપ રહેશે? આ માત્ર એક પોલીસ અધિકારીની વાત નથી, પોલીસ ફોર્સની વાત છે. હાઇકોર્ટે જવાબદાર પોલીસને બરતરફ કરવાનો હુકમ કર્યા છતાં એ અધિકારી ફરજ બજાવે છે તેનો મતલબ ડીએસપી કોર્ટથી ઉપર છે? તમારા વિભાગની વિશ્વસનીયતા લોકોમાં રહી જ નથી. કોઈ સરકારી અધિકારીના ચારિત્ર પર એક વખત આંગળી ઉઠાવ્યા બાદ તમે તેની આબરૂ પાછી લાવી શકવાના છો?
તપાસમાં ખુલાસો:કૉલ સેન્ટરમાંથી દવાના બહાને વિદેશમાં પણ ફોન કરતા હતા
નવરંગપુરામાંથી પકડાયેલા કૉલ સેન્ટરમાંથી અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં વસતા ગુજરાતના લોકોને દવાના બહાને ફોન કરાતા હતા. કૉલિંગ માટે નોકરીએ યુવાનો ગૂગલ પર મોટેલ, સબ-વે અને લીકર શોપ સર્ચ કરીને ડાયરીમાંથી ત્યાં રહેતા ગુજરાતીઓનું નામ અને નંબર મેળવીને ફોન કરતા હતા. કૉલ સેન્ટર પકડાયું તે ઑફિસ અને મુનરાઇસ રેમેડી કેર પ્રા.લિ કૉલ સેન્ટરના માલિક અભિષેક પાઠકના ભાઈ મનિષ પાઠક (અમેરિકા)ના નામે હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતુ. સાકાર-9માં 6 મહિનાથી ચાલતા કૉલ સેન્ટરમાંથી પોલીસે માલિક અભિષેક પાઠક, મૅનેજર નિખિલ જૈન, ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણ સહિત કુલ 24 પકડાયા હતા. આરોપીઓની કૉલ ડિટેલ અને બૅન્ક એકાઉન્ટની વિગતો પોલીસે મેળવીકૉલ સેન્ટરના માલિક અભિષેક પાઠક, નિખિલ જૈન, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણની કૉલ ડિટેલ અને બૅન્ક ખાતાંની વિગતો પોલીસે મેળવી છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસે ચારેય આરોપીને જ્યુ. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ વિદેશી નાગરિકોના ડેટા ક્યાંથી મેળવતા હતા. સહ આરોપીઓની તપાસ કરી પકડવાના છે. આરોપીઓએ કોલ સેન્ટર ચલાવી કેટલા રૂપિયા કમાયા છે. અને તેમાં કોને કેટલો ભાગ મળ્યો છે. તેની તપાસ કરવાની છે. ભાસ્કર ઈનસાઈડછોકરા-છોકરીઓને પૈસાની લાલચ અપાતી હતીકૉલર તરીકે નોકરી કરતા 15 છોકરા અને 5 છોકરી પકડાઈ હતી. તેમાંથી મોટા ભાગના રાજસ્થાન, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને અમરેલીના હતા. તમામ પીજીમાં રહીને કલેજમાં ભણતા હતા. આ છોકરા-છોકરીઓને 20થી 30 હજારના પગારની લાલચ આપીને નોકરી રાખ્યા હતા. 5 છોકરી જામીન મુક્ત, છોકરાઓ જેલમાંઅભિષેક, નિખિલ, ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણને પોલીસે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ લીધા હતા. જ્યારે કૉલર તરીકે નોકરી કરતી 5 છોકરીને જામીન મુક્ત કરાઈ હતી જ્યારે કૉલર તરીકે નોકરી કરતા 15 છોકરાને જેલમાં મોકલાયા હતા. વૉલેટમાં ડૉલર લઈ રૂપિયામાં કન્વર્ટ કરાવતા હતાકૉલરોના વિશ્વાસમાં આવીને વિદેશમાં રહેતા ગુજરાતના નાગરિકો તેમને 600 ડૉલર આપી દેતા હતા. જોકે આ ડલર તેઓ કયા વૉલેટમાં લેતા અને ત્યાંથી કેવી રીતે ભારતીય ચલણમાં ટ્રાન્સફર કરાવતા હતા. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
નકલી લાઇસન્સ કેસ:નકલી લાઇસન્સ કેસમાં વધુ 1 પકડાયો, 2 દિવસના રીમાન્ડ
અમદાવાદ એટીએસે 3 મહિના પહેલાં પકડેલા નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડમાં વધુ 1ની અટકાયત કરાઈ છે. અગાઉ આ કેસમાં 14 આરોપી ઝડપાયા હતા. વધુ તપાસ દરમિયાન મધ્ય પ્રદેશના એટા જિલ્લાની ડી.એમ. ઑફિસના આઉટસોર્સિંગ ક્લાર્ક પવનકુમાર ગંગાપ્રસાદ લોધીએ વર્ષ 2019થી 2025 દરમિયાન ડીએમની ખોટી સહી અને સિક્કા લગાવી બનાવટી લાઇસન્સ તૈયાર કરાવ્યાની માહિતી સામે આવી હતી. જેમાંથી અત્યાર સુધી 14 આરોપી ઝડપાયા હતા અને 11 નકલી લાઇસન્સ, તે આધારે મેળવેલા 12 રિવૉલ્વર અને 477 કાર્ટ્રિજ જપ્ત કરાયા છે. પવનકુમારને 25મીએ કોર્ટમાં રજૂ કરતા એટીએસએ 7 દિવસના રીમાન્ડની માગણી કરી હતી. સરકાર પક્ષના વકીલ મહેન્દ્ર પી. ભરવાડની દલીલો બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2 દિવસનો રીમાન્ડ મંજૂર કર્યા હતા. આ માટે રીમાન્ડ જરૂરીએટીએસ રજૂઆત કરી હતી કે 7 નકલી લાઇસન્સ સરકારી પોર્ટલ પર ખોટા નામે અપલોડ કરાયાં હતાં. આ પ્રક્રિયા પવનકુમારે કયા જૂના લાઇસન્સને આધારે કરી હતી તે જાણવું જરૂરી છે. પોર્ટલ પર જનરેટ કરનારા દિલ્હીના ગૌરવ અને શરદની ભૂમિકા તપાસવાની છે.

30 C