જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મોદી સામે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે. એક યુવતીએ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ઉદ્યોગપતિએ ફેબ્રુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને તેના આધારે યુવતીને બ્લેકમેલ કરતો હતો. આ પછી, તેણે યુવતીને પોતાની ઓફિસ સહિત જામનગરના અલગ-અલગ સ્થળોએ બોલાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાક્રમ ફેબ્રુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 સુધી ચાલ્યો હતો. ભોગ બનનાર યુવતીએ ગત 28મી તારીખે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શું છે સમગ્ર ઘટનાફરિયાદ મુજબ, આરોપીને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે આ યુવતી તે ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ યુવતી સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી. આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને યુવતીને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ યુવતીને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ યુવતીનું શરીર ધ્રૂજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ યુવતીની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે યુવતીને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને શહેરમાં પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા સહિતના નામોનો ઉલ્લેખ થતા પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, આરોપી ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીટોકના ગુનામાં જેલમાં પણ રહી ચૂક્યો છે. આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી ન હતી. આરોપી મને બ્લેક-મેઈલીંગ કરવાની ધમકી આપી મારૂ શારીરીક શોષણ કરી રહ્યો હતો, તેણે તેમના વિક એન્ડ હોમમાં તેમજ તેમની ઓફિસમાં અનેક વખત મારી સાથે મારી મરજી તેમજ ઈચ્છા વિરૂધ્ધ શારીરીક સબંધો બાધી સતત દુષ્કર્મ આચરતો હોય જેથી આરોપીના માનસિક તેમજ શારીરીક શોષણમાંથી છુટવા હિંમત કરીને તેમની સામે આ ફરીયાદ દાખલ કરવા આવી છું.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલબોર્ડની શાળાઓની મુલાકાત લીધી હતી. શાહપુર દરવાજા પાસે આવેલી શાહપુર ગુજરાતી શાળા નંબર 5 અને 6ની મુલાકાત માટે આવ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બીજા શૈક્ષણિક સત્રની વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે તેમજ મંત્રી બન્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ બુકની ભેટ આપી હતી. જેથી એ તમામ બુક AMC સ્કૂલ બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીના દોરેલા ચિત્રો પણ ભેટમાં આપ્યા છે તેમજ શાહપુરની ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સંવાદ પણ કર્યો હતો. શિક્ષણ મંત્રીએ આજે તમામ બુકનું વિદ્યાર્થીઓમાં વિતરણ કર્યુંશિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ પણ આજે હાજર રહ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના હતી કે, બુકે નહીં પરંતુ બુકથી સ્વાગત કરવામાં આવે. જેથી મંત્રી બન્યા બાદ અમારું જે પણ બુક વડે સ્વાગત કરવામાં આવ્યું, જેથી સ્વાગતમાં જે પણ શૈક્ષણિક કિટો આવી તેનું શૈક્ષણિક સંસ્થામાં વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી આજે તમામ બુકનું વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વૃક્ષ બચાવો સહિતના વિષય પર કૃતિઓ રજૂ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શાળાઓમાં વાંચન અને લેખન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ દરેક શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાતી સરકાર કટિબંધ છે. લેખન, વાંચન અને ગણનનું બધી જ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
નખત્રાણા તાલુકાના મથલ નજીકના વન વિસ્તારમાં ચિંકારા જોવા મળ્યા છે. વન વિભાગ, નખત્રાણા-કચ્છના કેમેરામાં આ પ્રાણીની તસવીર કેદ થઈ હતી. વન રક્ષક ધીરજભાઈ વાઘેલાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચિંકારા, જેને ઇન્ડિયન ગેઝેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હરણ કુળનું એક પ્રાણી છે. તે મુખ્યત્વે રણ, કાંટાળા જંગલો અને ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી શુષ્ક વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ છે. ચિંકારા સ્વભાવે ખૂબ જ ડરપોક હોય છે. સહેજ પણ ભયનો અહેસાસ થતાં તે અત્યંત ઝડપથી દોડીને ભાગી જાય છે. તેની દોડવાની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. ચિંકારા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં બચ્ચાને જન્મ આપે છે, જેથી ખોરાક પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય અને બચ્ચાનો ઉછેર સરળતાથી થઈ શકે. નર ચિંકારાના શીંગડા દેખાવમાં મોટા હોય છે, જ્યારે માદાના શીંગડા પ્રમાણમાં નાના હોય છે. આ પ્રાણી સમૂહમાં રહેવા માટે જાણીતું છે અને મોટાભાગે ઝુંડમાં જોવા મળે છે. તેની મળ બકરીની મળ જેવી જ હોય છે, પરંતુ કદમાં થોડી નાની હોય છે, જેના પરથી આસપાસ ચિંકારાનો વસવાટ છે તે સહેલાઈથી ઓળખી શકાય છે. નીલગાયની જેમ જ, ચિંકારા પણ દરરોજ એક જ જગ્યાએ મળત્યાગ કરે છે.કચ્છના લગભગ દરેક તાલુકામાં ચિંકારા જોવા મળે છે.
જામનગરને 'છોટી કાશી' તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલા કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્તિકી પૂર્ણિમાના રોજ પૃથ્વી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી શરૂ થઈ હતી. આ પૃથ્વી પરિક્રમામાં મહામંગલપુરી ધામ સુરતથી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય સૂર્યનારાયણદાસજી મહારાજ, સિક્કિમથી સુધાકારજી મહારાજ, ખીજડા મંદિરના સંત લક્ષ્મણદેવજી મહારાજ અને દિવ્યચૈતન્યજી મહારાજ સહિતના સંતો-મહંતો જોડાયા હતા. મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો પણ ભજન-કીર્તન કરતા પદયાત્રામાં સામેલ થયા હતા. નિજાનંદાચાર્ય દેવચંદ્રજી મહારાજે સ્થાપેલ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરેથી શરૂ થયેલી આ પદયાત્રા હવાઈચોક, સેન્ટ્રલ બેન્ક, દરબાર ગઢ, કાલાવડ નાકા બહાર થઈને ઠેબા ચોકડી પાસે આવેલા ૧૨,૦૦૦ પારાયણ મહામહોત્સવ સ્થળ 'મૂલ મિલાવા' ખાતે પહોંચી હતી. 'મૂલ મિલાવા' ખાતે સંત ગુરુજનોએ ધર્મ ધ્વજા લહેરાવી હતી અને મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સુંદરસાથ ભાવિકોએ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે સેવાકીય યોગદાન પણ આપ્યું હતું. આ પૃથ્વી પરિક્રમામાં ખીજડા મંદિરના ટ્રસ્ટીઓ મનસુખભાઈ સંઘાણી, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઈ વસરા, પ્રણામી ગ્લોબલ સ્કૂલના જી.એલ. તનેજા અને કિશોરભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર, અમરેલી જિલ્લામાં 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારો – 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા અને 98-રાજુલા – માં મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમના ENUMERATION તબક્કા અંતર્ગત, અમરેલી જિલ્લાના કુલ 1,371 મતદાન મથકોના બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા 4 નવેમ્બર, 2025 (મંગળવાર) થી 4 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત શરૂ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન, કુલ 12,71,375 મતદારોને એન્યુમેરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) આપવામાં આવશે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ BLOને કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારો પોતાની મતદાર યાદીમાં નામ તથા વર્ષ 2002ની મતદાર યાદી https://voters.eci.gov.in/ પર ચકાસી શકશે. મતદાર રજિસ્ટ્રેશન સંબંધિત કોઈપણ માહિતી અથવા માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઈન પર સંપર્ક કરી શકાય છે અથવા મતદારો સીધા BLOsનો પણ સંપર્ક કરી શકે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એન્યુમેરેશન ફોર્મ ભરવામાં બૂથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા અનુરોધ કર્યો છે.
પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે મેરી પુંજી મેરા અધિકાર અભિયાન અંતર્ગત એક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને આ સેમિનારનું આયોજન બેંક ઓફ બરોડા અને લીડ જિલ્લા મેનેજર કચેરી, બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, શેર, ડિવિડન્ડ, પેન્શન અને વીમા ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની રકમનો દાવો કરવાની પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નેજા હેઠળ ઉપસ્થિતોને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કુલ 18 ગ્રાહકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમની રકમ DEAF યોજના હેઠળ સફળતાપૂર્વક રિફંડ કરવામાં આવી છે. આ ગ્રાહકોને કુલ ₹10.23 લાખની રકમ ચૂકવવામાં આવી હતી. આ જાગૃતિ સેમિનારમાં વિવિધ બેંકોના પ્રાદેશિક મેનેજરઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીકયુટીવ કાઉન્સીલમાં તાજેતરમાં નવા સદસ્યોની કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા નિમણુંક કરવામાં આવી છે. જેમાં કેટલાક સદસ્યોની નિમણુંક નિયમોનો ઉલાળીયો કરી થયાની કોંગ્રેસે ફરીયાદ કરી છે અને આ અંગે જો પગલા ન લેવાય તો ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડત છેડવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવકતા રોહીત રાજપૂતે આ અંગે જણાવ્યું છે કે યુનિ.ના સ્ટેચ્યુટ 42માં દર્શાવ્યા મુજબ કોઈ એક વ્યકિતની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સતત બીજી વખત નિમણુંક થઈ શકતી નથી. આમ છતા કુંભારાણાને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણુંક આપવામાં આવી છે જે યોગ્ય નથી. આ ઉપરાંત સિન્ડિકેટે અગાઉ જેઓને સજા કરી છે તેવા મુખર્જી અને ડોડીયાની નિયુકિત પણ કાયદાથી વિરૂધ્ધ જઈ કરવામાં આવી છે. પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ નિલાંબરીબેન દવેએ જેઓને ગેરલાયક ઠેરવ્યા હતા તે કમલ મહેતાને વર્તમાન કુલપતિ ઉત્પલ જોશીએ લાયક ગણી નિયુકિત આપી છે. એક મહિના પહેલા હેડ બનેલા પત્રકારત્વ ભવનના નીતાબેન ઉદાણી અને મહેતા સીનીયર બની ગયા છે તેવો આક્ષેપ રાજપૂતે કર્યો છે. આ ઉપરાંત પડધરી કોલેજ કે જે નેક એક્રેડીએશન ધરાવતી નથી છતાં તેના અધ્યાપકને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ પ્રકારની અનેક ભૂલો બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ઇસી નિમણુંકમાં કરવામાં આવી છે. આ ભૂલોને સુધારવામાં નહીં આવે તો આગામી ટુંક સમયમાં જ હાઈકોર્ટમાં કાનૂની લડત છેડવામાં આવશે. આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, કોમન એક્ટ અને સ્ટેચ્યૂટ મુજબ 3 સભ્યોની કમિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી. કોંગ્રેસની જે રજૂઆત આવી છે. જેનો જવાબ અમે આપી દઈશું. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અઢી વર્ષ માટે નવી નિયુક્તિ ડૉ. એમ. એન. જીવાણી ડૉ. સી. કે. કુંભારાણા ડૉ. નીપા ગાંધી ડૉ. બી. કે. કલાસવા ડૉ. ક્રિષ્ના દૈયા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અઢી વર્ષ માટે નવી નિયુક્તિ ડૉ. કમલ મેહતા ડૉ. નીતા ઉદાણી ડૉ. એસ. ડી. મોરી ડૉ. કે. ડી. લાડવા ડૉ. નિદત બારોટ ડૉ. જે. કે. ડોડીયા ડૉ. સંજય મુખર્જી ડૉ. ભીખુભાઈ પટેલ ડૉ. મિલન વડોદરિયા ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય ડૉ. હર્ષિદા જાગોદડિયા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં 10 વાઇબ્રન્ટ સમિટના આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજનઆ આયોજનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 જાન્યુઆરીના રોજ MSME કોન્કલેવનું પણ આયોજન કરાયુંરાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે તા. 9 જાન્યુઆરી, 2026ના રોજ “MSME કોન્કલેવ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનારો, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તદુપરાંત, આ કોન્ક્લેવમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ 12 જિલ્લાઓમાં સ્થિત અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઇક્રો તથા સ્મોલ એકમોને નીચે મુજબની કુલ પાંચ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ MSME ઉદ્યોગોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?
11 Crore Seized by ED in Betting App Case: ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કાર્યવાહી કરી છે, જેના કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED એ આ બંનેની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, '1xBet' સટ્ટાબાજીની સાઇટ સામેના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વચગાળાના આદેશમાં, શિખર ધવનની 4.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પીરકાંઠી બજાર વર્ષોથી નાગરિક સુવિધાઓના અભાવનો ભોગ બની રહ્યું છે. માર્ગની બંને બાજુ ઉભરાતી ગટરો, દુર્ગંધ અને ગંદકીના કારણે અહીંનો રોજિંદો વેપાર અને દૈનિક જીવન મુશ્કેલ બન્યા છે. વેપારીઓ અને દુકાનદારો આ સમસ્યાથી લાંબા સમયથી પીડાઈ રહ્યા છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી જાય છે. ઉભરાતી ગટરોના કારણે રસ્તા પર ગંદુ પાણી ફેલાય છે, જેનાથી નાગરિકો અને ગ્રાહકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. એક વેપારીએ જણાવ્યું કે, પાલિકાની નિષ્ક્રિયતાના કારણે હવે ધંધો કરતા શરમ આવે છે. દુકાન આગળ ઉભરાતી ગટરો અને દુર્ગંધથી ગ્રાહકો પાછા વળી જાય છે. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારી મંડળના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પીરકાંઠી બજારની ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો પાલિકા અને સેનિટરી વિભાગની કચેરીઓને તાળાબંધી કરવામાં આવશે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની ટીમે સ્થળ પર જઈને ગટરની સફાઈ કરી છે અને હાલમાં ઉભરાતું પાણી બંધ કરવાની કામગીરી કરી છે. તેમણે ખાતરી આપી કે ગટરની ઊંડાણપૂર્વક સફાઈ કરાવી વેપારીઓ અને ગ્રાહકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગોંડલ યાર્ડ અને અમેરિકા સ્થિત 'નેશનલ પીનટ બોર્ડ, USA' વચ્ચે ખેડૂતોને સીધો ફાયદો કરાવતા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) થયા છે. આ MOU માટે નેશનલ પીનટ બોર્ડ, USAના બોબ પાર્કર ગોંડલ APMC આવ્યાં હતા. નેશનલ પીનટ બોર્ડના CEO પાર્કર બોબ પાર્કર APMCની મુલાકાતેગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો. અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં જેમનો મુખ્ય ફાળો છે, તેવા નેશનલ પીનટ બોર્ડ, USA ના CEO બોબ પાર્કર ગોંડલ યાર્ડની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન, ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા અને બોબ પાર્કર વચ્ચે મગફળી ઉત્પાદન, વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે બાદ બંને સંસ્થાઓ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બોબ પાર્કરે યાર્ડની મુલાકાત દરમિયાન મગફળીની હરરાજી થતી હતી તે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજી હતી. MOUથી ગોંડલ પંથકના ખેડૂતોને ટેકનોલોજી અને નવા સંશોધનનો સીધો લાભ મળશેયાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ આ MOU અંગે જણાવ્યું હતું કે, આ સમજૂતીથી ગોંડલ પંથકના ખેડૂતોને ટેકનોલોજી અને નવા સંશોધનનો સીધો લાભ મળશે, જેનાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થશે અને તેમની આવકમાં વધારો થશે. ગોંડલ APMCના મુલાકાતી રજીસ્ટરમાં બોબ પાર્કરની નોંધપોતાની ગોંડલ APMCની મુલાકાત દરમિયાન બોબ પાર્કરે મુલાકાતી રજીસ્ટરમાં એક નોંધ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું - તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. તમારી સંસ્થા ખૂબ જ પ્રભાવશાળી છે અને ખેડૂતો માટે ખૂબ મદદરૂપ છે. દલાલ મંડળ અને વેપારીઓ સાથે પાર્કર બોબની બેઠકબોબ પાર્કરે યાર્ડના દલાલ મંડળ અને વેપારીઓ સાથે પણ એક ખાસ બેઠક યોજી હતી, જેમાં તેમણે મગફળી ઉત્પાદન અંગે મહત્વપૂર્ણ વૈશ્વિક માહિતી આપી હતી. આ વિશેષ અવસરે, યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ (બાવભાઈ) ટોળીયા, યાર્ડના ડિરેક્ટરો સહિત અન્ય આગેવાનોએ બોબ પાર્કરનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકાનું નેશનલ પીનટ બોર્ડઅમેરિકાના નેશનલ પીનટ બોર્ડની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી. આ બોર્ડનો મુખ્ય હેતુ અમેરિકામાં મગફળી પકવતા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું, દેશમાં મગફળીનો વપરાશ વધારવો અને તેના પોષણ, ઉપયોગ અને ગુણવત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તેના મુખ્ય કાર્યોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું, ગ્રાહકોને મગફળીના આરોગ્ય લાભો વિશે માહિતગાર કરવા, એલર્જી સંબંધિત જાગૃતિ અને તેના ઉકેલો પર કામ કરવું, તથા ખેડૂતોને મદદ કરીને તેમના ઉત્પાદનના માર્કેટિંગને સમર્થન આપવાનો સમાવેશ થાય છે.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અન્વયે ગાંધીનગર ભાજપા દ્વારા 'સરદાર @ 150 યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત જિલ્લામાં સમાવિષ્ટ માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર વિધાનસભા વિસ્તારોમાં 6 થી 10 નવેમ્બર દરમિયાન 5 થી 10 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે 31મી ઑક્ટોબર, 1875ના રોજ નડિયાદમાં જન્મેલા સરદાર પટેલે સ્વતંત્રતા પછીના કઠિન સમયમાં દેશના રજવાડાઓને એક કરીને અખંડ ભારતની રચના કરી. તેમના અડગ સંકલ્પ, રાજકીય બુદ્ધિક્ષમતા અને દૃઢ નેતૃત્વને કારણે જ આજે ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભું છે. બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખેડૂત હિત માટેની તેમની અગ્રણી ભૂમિકાને કારણે જ તેમને “સરદાર”નો ખિતાબ મળ્યો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે તેમણે મજબૂત વહીવટી વ્યવસ્થા અને નાગરિક સેવાનો પાયો નાખ્યો હતો. વધુમાં આશિષ દવેએ ઉમેર્યું કે, સરદાર પટેલ માત્ર નેતા નહિ, પરંતુ વિચારધારા, પ્રેરણા અને રાષ્ટ્રશક્તિના પ્રતીક હતા. તેમના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નને આજનું ભારત આગળ વધારી રહ્યું છે. તેમની એકતા, અનુશાસન અને દેશપ્રેમની ભાવનાને જીવનમાં ઉતારવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર વિધાનસભા વિસતારમાં પદયાત્રા યોજાશેસરદાર પટેલને યોગ્ય સન્માન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત તત્પર છે. 'સરદાર @ 150 યુનિટી માર્ચ' અંતર્ગત ગાંધીનગર ભાજપા દ્વારા જિલ્લામાં સમાવિષ્ટ માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર વિધાનસભા વિસ્તારોમાં 6 થી 10 નવેમ્બર દરમિયાન 5 થી 10 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાઓ જે તે વિધાનસભાના ધારાસભ્યના નેતૃત્વમાં દેશભક્તિના વાતાવરણ અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે યોજાશે. આ પદયાત્રાનો એક મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાનને વેગ આપવાનો છે. આ માટે નાગરિકોમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની ભાવના પ્રબળ બને તે દિશામાં લોકજાગૃતિના પ્રયત્નો પણ આ પદયાત્રામાં સામેલ કરવામાં આવશે. આ કાર્યક્રમ સરદાર સાહેબની 150મી જન્મજયંતિને યાદગાર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસે પ્રતીક ધરણા યોજી ખેડૂતો માટે વિશાળ જંગી સભા કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકા મથકો પર પ્રતીક ધરણા કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા નગરપાલિકા પટાંગણમાં યોજાયેલા આ પ્રતીક ધરણા અને સભામાં કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. ખેડૂતોને તાત્કાલિક સહાય અને દેવામાફી આપવાની માંગ કરવામાં આવી હતી. ધરણા બાદ થોડીવારમાં બળદગાડા સાથે એક રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં કપાસની ગાંસડીઓ બળદગાડા પર બાંધીને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરાયેલી 'PMC Connect' એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળ્યો છે. 15 ઓક્ટોબરના રોજ લોન્ચ થયા બાદ 22 દિવસમાં આ એપ પર 150થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ અરજીઓમાં મોટાભાગની ફરિયાદો સફાઈ અને સ્ટ્રીટલાઈટને લગતી છે. નાગરિકો દ્વારા સીધા જ એપ મારફતે પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા મોટાભાગની અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કેટલીક અરજીઓ ટેકનિકલ કારણોસર અથવા કર્મચારીઓ સ્થળ પર પહોંચી ન શકવાને કારણે બાકી છે, જેનું નિરાકરણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં 3.25 કરોડના ખર્ચે રસ્તા રીપેરીંગ શરૂપોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માર્ગ સુવિધાઓ સુધારવા માટે રસ્તા રીપેરીંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વોર્ડ નંબર 1, 10, 11, 12 અને 13માં પેચવર્ક સહિત નવા રસ્તાઓનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 3.25 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલમાં આ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.સંબંધિત વોર્ડની તમામ ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર પેચવર્ક અને નવા રસ્તા બનાવવાની યોજના છે. આનાથી નાગરિકોને ટૂંક સમયમાં સુધારેલી માર્ગ સુવિધાઓનો લાભ મળશે.મહાનગરપાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, શહેરના પ્રાથમિક પ્રશ્નોને અગ્રતા આપીને માર્ગ વ્યવસ્થા સુધારવાના કાર્યને સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાક જેવા કે મગફળી, ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અને દેવા માફીની માંગ કરી છે. છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કુદરતી આફતોને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. છેલ્લા સાત સીઝનથી રાજ્યમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર પડ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર માત્ર રાહત પેકેજની જાહેરાતો કરે છે, પરંતુ જાહેર કરાયેલી રકમના માત્ર 30 થી 35%
મોરબી જિલ્લામાં 88% પાક નુકસાન:ખેડૂતોએ દેવા માફી માટે CM-PMને કલેક્ટર મારફત રજૂઆત કરી
મોરબી તાલુકાના સરપંચો અને ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતો કપાસ અને મગફળી સહિતના પાકોને થયેલા મોટા નુકસાનને કારણે આર્થિક સંકટમાં મુકાયા છે. ઓક્ટોબરના અંતમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો, જેના પરિણામે કપાસ અને મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લા પંચાયત દ્વારા નુકસાનના આકારણી માટે ટીમો પણ મોકલવામાં આવી હતી. જોકે, ખેડૂતોનું કહેવું છે કે માત્ર વળતર ચૂકવવાથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકશે નહીં. આજે ટંકારા વિધાનસભા વિસ્તારના મોરબી તાલુકાના ખરેડા, વાંકડા, માંડલ, આદરણા, જીકીયારી સહિતના 10 જેટલા ગામોના સરપંચો અને ખેડૂતો, તેમજ મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોએ માત્ર વળતર નહીં, પરંતુ ખેતી માટે લીધેલા ધિરાણના દેવા માફ કરવાની માંગ કરી છે. તેઓએ વર્ષ 2020 થી બંધ કરાયેલી પાક વીમા યોજના ફરીથી શરૂ કરવા પણ અપીલ કરી છે. ચાલુ વર્ષે મોરબીમાં કપાસ, મગફળી સહિતના પાકોનું કુલ 3.17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુભાઈ ઉસદડીયાના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે 2.79 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે, જે જિલ્લામાં સરેરાશ 88 ટકા જેટલું નુકસાન દર્શાવે છે. હવે સરકાર દ્વારા ખેડૂતોને ક્યારે અને કેટલું વળતર ચૂકવવામાં આવે છે, તેમજ દેવા માફી અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.
હિંમતનગર દુર્ગા ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે:700 મીટર લાંબા બ્રિજનું 60% થી વધુ કામ પૂરું
હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પ્રોજેક્ટનું 60 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. GUDCના એન્જિનિયર હર્ષ રાવલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર પૈકી 18 તૈયાર થઈ ગયા છે, જ્યારે એક પિયરનું કામ ચાલી રહ્યું છે. 19માંથી 15 પિયર કેપ પણ બની ગઈ છે અને ચાર બાકી છે. આ ઓવરબ્રિજ સાડા સાત મીટર પહોળો બનશે અને રેલવે સેક્શનમાં ફૂટપાથ સાથેનો હશે. ગર્ડર પણ લોન્ચ થઈ ગયા છે અને બાકીના ગર્ડર સાઇટ પર કાસ્ટ કરવામાં આવ્યા છે. 15માંથી ચાર ડેક સ્લેબ પણ તૈયાર થઈ ગયા છે. માર્ચ 2026 સુધીમાં આ રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે.
અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) એ તેની કામગીરીના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષમાં એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 5 વર્ષમાં મુસાફરોની સંખ્યા 10 હજારમાંથી 36,500 સુધી પહોંચીએરપોર્ટ પર મુસાફરો અને ટ્રાફિકમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. AIAL દ્વારા નવેમ્બર 2020માં કામગીરી સંભાળ્યા બાદ એરપોર્ટે દૈનિક મુસાફરોની સંખ્યા ગણી તો જાણવા મળ્યું કે, દૈનિક મુસાફરોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. વર્ષ 2020ના 10,133 મુસાફરોની સામે 2025માં 36,500થી વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATM) પણ પ્રતિ દિવસ 177થી વધીને 284 થઈ છે. આ પાંચ વર્ષના ગાળામાં, AIALએ 10 મિલિયન સલામત કાર્ય કલાકો પણ મેળવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તનએરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં ટર્મિનલ 1(T1) જે ઘરેલુ મુસાફરો માટેનું T1, ત્રણ ગણી સીટિંગ ક્ષમતા અને 36 ચેક-ઇન કાઉન્ટર્સ સાથે 39,000 ચોરસ મીટર સુધી વિસ્તર્યું છે. તેમાં નવા ડિજી યાત્રા-સક્ષમ ઈ-ગેટ્સ ઉમેરાયા છે. જ્યારે ટર્મિનલ 2 (T2) માં હવે આ એક સ્થાનિક અને ઇન્ટરનેશનલ હબ છે, જે 12 બોર્ડિંગ ગેટ્સ અને વિસ્તૃત ઇમિગ્રેશન વિસ્તારો સાથે 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ચાર્ટર ફ્લાઇટ કામગીરી માટે 400 ચોરસ મીટરનું એક નવું ટર્મિનલ પણ રજૂ કરવામાં આવ્યું છે. કાર્ગો ટર્મિનલમાં 40,000 ચોરસ મીટરનું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ વાર્ષિક 200,000 મેટ્રિક ટન (MT) સુધીના માલનું સંચાલન કરી શકે છે. ચહેરાની ઓળખનો ઉપયોગ કરતી ડિજી યાત્રા ઇકોસિસ્ટમ શરૂમુસાફરીને સરળ બનાવવા માટે, એરપોર્ટ પર ઓટોમેટેડ બેગેજ સિસ્ટમ્સ, સફાઈ રોબોટ્સ અને બોર્ડિંગ પાસ તરીકે ચહેરાની ઓળખનો ઉપયોગ કરતી ડિજી યાત્રા ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવી છે. AIAL એરપોર્ટે ગ્રીન પાવર તરફ સ્વિચ કર્યું છે, ગંદા પાણીનું રિસાયક્લિંગ અપનાવ્યું છે અને તેના મોટાભાગના વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કર્યા છે, જેના કારણે કાફલાનો 60% હિસ્સો EV છે. આ કામગીરી બદલ એરપોર્ટને પાંચ વર્ષમાં 30થી વધુ વૈશ્વિક સન્માનો મળ્યા છે. જેમાં ACI લેવલ 4 સર્ટિફિકેશન, બ્રિટિશ કાઉન્સિલ સેફ્ટી 5-સ્ટાર રેટિંગ અને CIIના ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્લેટિનમ સર્ટિફિકેશન પણ મળ્યા છે.
વલસાડ જિલ્લામાં ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પિઠા ગામ નજીકથી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કલવાડા પાસે એક વાડીમાં આવેલા ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે. આ ગોડાઉનમાં ડ્રગ્સનો કાચો અને તૈયાર માલ સંતાડેલો હતો. DRIએ કુલ 114 કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી રહી છે. DRIની ટીમે પિઠા ગામ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી કાર્યરત હતી. વધુ પૂછપરછ દરમિયાન કલવાડા પાસે એક વાડીમાં ભાડે રાખેલા કોલ્ડ સ્ટોરેજ વિશે માહિતી મળી હતી, જ્યાં તૈયાર અને કાચો ડ્રગ્સનો માલ સંતાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર-પ્રોસેસ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. આ કાર્યવાહીમાં DRIએ ફેક્ટરીના બે માલિકો ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા તેમજ બે વર્કરો સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવા માટે રસાયણો ક્યાંથી લાવતા હતા, તૈયાર માલ કોને સપ્લાય કરતા હતા અને નાણાકીય વ્યવહારો ક્યાં થયા હતા તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. DRI ટીમ હવે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અને તેમાં સંકળાયેલા અન્ય તત્વો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
બોરસદ તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા ₹77 લાખના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. કુલ 29,229 બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નિકાલ કરાયો હતો. આ દારૂનો જથ્થો ચાલુ વર્ષે માર્ચથી ઓગસ્ટ મહિના દરમિયાન બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ 44 ગુનાઓમાં પકડવામાં આવ્યો હતો. તેના નિકાલ માટે બોરસદના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મંજૂરી મેળવવામાં આવી હતી. આજરોજ દારૂના જથ્થાના નાશની કાર્યવાહી બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, પેટલાદના ડીવાયએસપી અને આણંદના ઇન્ચાર્જ નશાબંધી અને આબકારી અધિક્ષક વી.આર. પટેલની હાજરીમાં કરવામાં આવી હતી.
રંગીલા રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી મામલે આમ આદમી પાર્ટીએ આજે વિરોધ વ્યક્ત કર્યો હતો. આપ'નાં આગેવાનો અને કાર્યકરો પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ''હાય રે કમિશ્નર હાય હાય', 'નાના વેપારીઓને હેરાન કરવાનું બંધ કરો' અને 'દારૂના અડ્ડા બંધ કરાવો' સહિતના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ ગુનેગારો સામે ચિંગમ (નરમ) બની જાય છે, જ્યારે સામાન્ય પ્રજાજનો અને નાના વેપારીઓ સામે સિંઘમ (કડક) બનીને દમનકારી નીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવીને રાત્રીના 11 વાગ્યા પછી રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને લારીઓ પર જઈને તે બળજબરીથી બંધ કરાવવા દબાણ કરી રહી છે. આ કામ પોલીસનું પ્રજાજનોના હિત માટે 365 દિવસ કરવાનું હોય, પરંતુ હાલમાં ન્યૂસન્સ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે અને તેનો સીધો માર પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ પર પડી રહ્યો છે. પોલીસની મહત્વપૂર્ણ બ્રાન્ચોની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, ડીસીબી, પીસીબી, એસ.ઓ.જી. તથા જે તે વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજકોટના ભૂગોળથી વાકેફ છે. આમ છતાં, જ્યાં ખરેખર વિદેશી દારૂ, દેશી દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ ગેરહાજર જોવા મળે છે. પ્રજાને આ દુષણમાંથી મુક્ત કરાવવી એ રાજકોટ શહેર પોલીસની મહત્વપૂર્ણ ફરજ બને છે, રાત્રીના સમયે ખાણી-પીણી અને ચા-પાનના ગલ્લાઓ બંધ કરાવવાથી આ દુષણ દૂર થઈ શકશે નહીં. આવુ કરીને પોલીસ ફક્ત સામાન્ય પ્રજા તેમજ નાના વેપારીઓને નિશાન બનાવીને કામગીરીનો સંતોષ માની રહી છે. આમ આદમી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ તંત્રના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ નેતાઓની ચાપલુસી અને હપ્તા ઉઘરાવવામાંથી નવરા પડતા નથી. જેના કારણે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાત્રીના સમયે નાના ધંધાર્થીઓ પર દમન ગુજારવાને બદલે, પોલીસે ખરેખર ન્યૂસન્સ પોઈન્ટ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિના અડ્ડાઓ પર તવાઈ બોલાવવી જોઈએ. જો પોલીસ દ્વારા નાના વેપારીઓને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈયદપુરાના ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક યુવક પાછળ કૂતરાઓનું ઝુંડ પડ્યું હતું. યુવક પોતાનો જીવ બચાવવા દોડતા પડી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનામાં ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી નામના યુવકને બ્રેઈન હેમરેજ થતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ આજે(6 નવેમ્બર) મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. કૂતરાનું ઝુંડ પાછળ પડ્યું, દોડતા દોડતા પડી ગયાઅન્સારી આફતાબ એહમદ (મૃતકનો ભાઈ)એ જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબરના રોજ 38 વર્ષીય ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી સવારે નમાઝ પઢીને કબ્રસ્તાનથી મારા અબ્બાની ફાતિહા (દુઆ) પઢીને આવ્યો હતો. ઘરની પાસે આવતા જ એમને ચાર-પાંચ કૂતરા એકસાથે કરડવા માટે દોડયા. તેમણે પોતાનો જીવ બચાવવા માટે દોડ લગાવી અને દોડતા દોડતા તે પડી ગયા. પડ્યા પછી તેમને એટલી ગંભીર ઈજા થઈ કે તેના કારણે તેમની પીઠમાં જે મુખ્ય નસ છે તે ડેમેજ થઈ ગઈ. તેના કારણે તેમનું આખું શરીર પેરેલાઈઝ (લકવાગ્રસ્ત) થઈ ગયું હતું. 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાવધુમાં જણાવ્યું હતું કે, પેરેલાઈઝ થવાને કારણે અમે તાત્કાલિક તેમને લોકલ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. ત્યાં ઈમરજન્સી યુનિટમાં દેખરેખ પછી, તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. 10 દિવસ રાખ્યા પછી, બે દિવસ તેમની હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. રાત્રે તેમની તબિયત બગડી અને ત્યાં જ તેમનું નિધન થયું હતું. દોડતાં દોડતાં પગ લથડ્યો ને પડી ગયાCCTVમાં દેખાઈ રહ્યું છે કે કૂતરાઓ તેમની પાછળ કરડવા માટે દોડ્યા અને ગભરાઈને તે એકદમ ઝડપથી દોડ્યા. દોડતાં દોડતાં તેમનો પગ લથડ્યો અને તે પડી ગયા. જ્યારે તેઓ પડી ગયા, ત્યારે તે કૂતરાઓ ભાગી ગયા. પછી ફરીથી થોડીવાર પછી તેઓ પાછા આવ્યા તેમને કરડવા માટે. અને અહીંયા બધા લોકો હાજર હતા, તેથી તેઓ કરડી ન શક્યા. SMC સખત કાર્યવાહી કરેવધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે SMC આના પર સખત કાર્યવાહી કરે, જેથી મારા ભાઈ સાથે જે થયું, તેવું બીજા કોઈની સાથે ન થાય. અહીં મોહલ્લામાં ઘણા નાના બાળકો રમે છે. દરેક ગલીમાં એટલા કૂતરા છે કે બાળકોને બચાવવા બહુ મુશ્કેલ થઈ જાય છે. ક્યારે કોને કરડી જાય, કેટલાયને કરડી પણ ચૂક્યા છે. જો સવારના સમયે કોઈ હાજર ન હોય ને નાના બાળકને પકડી લે, તો તે બાળકોને કરડી જશે, કોઈને ખબર પણ નહીં પડે. તો હું ઈચ્છું છું કે આના પર સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આ કૂતરાઓની પરેશાની લોકોથી દૂર થઈ જાય. ગઈકાલે જ એક બાળક પર કૂતરાઓએ હુમલો કર્યો હતોઅલ્ફાશ (મૃતકના પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે આ અંગે, હું માનું છું કે મેયરને પણ પત્ર લખવામાં આવશે. મંત્રીને પણ પત્ર લખવામાં આવશે, કે આની પર સખત કાર્યવાહી થાય. અહીંયા, હજુ ગઈકાલે જ, એક બાળક પર પણ કૂતરાઓએ હુમલો કર્યો હતો. તે બાળક બચી ગયો, પણ એના માતા-પિતાએ ખૂબ હોબાળો કર્યો, ત્યારે તે કૂતરાઓને ભગાડવામાં આવ્યા. આની પર સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પરેશાની દૂર થાય. હું ઈચ્છું છું કે કૂતરાઓને અહીંથી પકડીને દૂર લઈ જવામાં આવે. કાર્યવાહી નહીં થાય તો મોરચો કાઢીશુંવધુમાં જણાવ્યું હતું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે, તો હું આખા મોહલ્લાના લોકોને એકઠા કરીને એક મોટો મોરચો કાઢીશ. અને આ કૂતરાઓની પરેશાનીને લઈને, આની પર કાર્યવાહી કરવામાં આવે તે માટે આંદોલન કરીશ. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે અત્યાર સુધીમાં અહીં કોઈ અધિકારી આવ્યા નથી. અહીં જે ઘટના બની છે, આટલો મોટો બનાવ બન્યો છે, મારા ભાઈનું નિધન થયું છે, એના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તંત્ર તરફથી કોઈ આવ્યું નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે ધ્યાન નથી આપી રહ્યું?પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કરીને તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ મને એ સમજાતું નથી કે SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) શા માટે આની પર ધ્યાન નથી આપી રહ્યું? આટલો મોટો બનાવ બન્યો, આ કૂતરાઓની પરેશાનીને કારણે જ આ બધું થયું છે. જો કૂતરાઓની પરેશાની ન હોત, તો આ ઘટના થાત જ નહીં. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે આમાં અમે શું કરી શકીએ?. હું કહું છું કે તેઓ આમાં ઘણું બધું કરી શકે છે, જો તેઓ ઈચ્છે તો. આના પર સખત કાર્યવાહી થવી જોઈએ, જેથી આ કૂતરાઓની પરેશાની દૂર થાય. હું નથી ઈચ્છતો કે મારી જેમ, બીજો કોઈ વ્યક્તિ પણ આ મુશ્કેલીમાંથી પસાર થાય. અમારા વિસ્તારમાં, આખા મોહલ્લામાં, લગભગ 500થી 600 કૂતરાઓ છે.
રાજ્યભરની શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ હવે જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થવા તૈયાર જ નથી. રાજ્યમાં 2700 જેટલા જ્ઞાન સહાયકો હાજર થવા માટે તૈયાર નથી. કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે હાજર થવામાં નિરાશા દાખવી રહ્યા છે. જેથી શાળા સંચાલકોએ માંગ કરી રહ્યા છે કે, જ્ઞાન સહાયકના સ્થાને પ્રવાસી શિક્ષકની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સરકાર પાસ કરવામાં આવી છે. આજથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ પરંતુ શાળામાં શિક્ષકની ઘટ કાયમી શિક્ષકની ભરતી ન થતા ટેટ ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયક થવા તૈયાર નથી. જેથી અમદાવાદમાં સૌથી વધુ અંગ્રેજીના 89, સામજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટરના 21, અર્થ શાસ્ત્રના 18, સાયકોલોજી અને સોસ્યોલોજીના એકંદરે 12 અને 10 શિક્ષક હજુ પણ ન મળ્યા નથી. અમદાવાદ શહેરમાં 400ના ઓર્ડર થયા, 200 હાજર થવા તૈયાર નથી- ભાસ્કર પટેલરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2011 થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓની શિક્ષક ભરતીનું કામકાજ હાથમાં લીધા બાદ પરિસ્થિતિ એ છે કે અમારી કાયમી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. પહેલા પ્રવાસી અને હવે જ્ઞાન સહાયકના નામે જે વિલંબ થઈ રહ્યો છે તે બહુ જ દુઃખદ બાબત છે. એક આખું સત્ર પૂર્ણ થઈ ગયું અને હવે દિવાળી બાદ જ્યારે શિક્ષકો મૂકવાની થઈ ત્યારે શહેરમાં 400 જગ્યાની સામે 200 કરતા વધુ હાજર થવા પણ તૈયાર નથી. સમગ્ર ગુજરાતમાં 2700 કરતા વધુ જ્ઞાન સહાયકોની જગ્યા ખાલી પડી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. જ્ઞાન સહાયક તો આપવામાં આવતા નથી જેથી અમારી માંગ છે કે પ્રવાસી શિક્ષકનો ઠરાવ જીવિત કરવામાં આવે. 'પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની છૂટ આપવામાં આવે'વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમને અમારી રીતે પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની છૂટ આપવામાં આવે. અમને જો જ્ઞાન સહાયક ઉપલબ્ધ ના થકે તો પ્રવાસી શિક્ષકનો ઠરાવ જીવિત કરવામાં આવે અને એમને અમારી રીતે પ્રવાસી શિક્ષક રાખીને શાળા ચલાવવાની મંજૂરી આપવામાં આવે. પહેલા 6 મહિના સુધી તો અમને શિક્ષક મળ્યા જ નહીં. હવે શિક્ષણ કાર્યના જે 4 મહિના બાકી રહ્યા છે તેમાં પણ કાયમી અને અનુભવી શિક્ષકોને BLO કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે. જેથી શિક્ષણ કર્યા બગડવાનું જ છે. પછી કહીશું કે ગુજરાતના બાળકો ભણવામાં પાછળ છે, પરંતુ ગુજરાત આખું ભણવામાં પાછળ ધકેલાઈ ગયું છે. સરકાર ગંભીરતાથી વિચારે અને અમને શિક્ષક આપે તેવી અમારી માંગ છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. આ મામલે આજે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ગતમોડી રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જોકે, હાલ ગામમાં શાંતિનો માહોલ હોવાનું ડિવાયએસપીએ જણાવ્યું છે. ટ્રેક્ટરનું ટાયર ઘોડીને અડ્યું ને બબાલ શરૂ થઇ રઘુ ગોકુળભાઇ પદમાણીએ 6 લોકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું થે કે, દેવગર શિવગિરી ગૌસ્વામીના દીકરા જયેન્દ્રના લગ્નના ફુલેકામાં ગામના હરદીપ દેવકુભાઇ વાળા અને તેમના સગા ઘોડી લઇને આવ્યા હતા. જે દરમિયાન રોડ ઉપર ફરિયાદીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઇને પસાર થતાં ઘોડીને ટ્રેક્ટરનું ટાયર થોડુ અડી ગયું હતું. જેથી હરદીપ વાળાએ સાગરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં લાફા માર્યા હતા. આ બાદ ટ્રેક્ટર ચાલક સાગરના સગા-સંબંધી હરદીપ વાળાના ઘરે ઠપકો આપવા જતા હતા. જે દરમિયાન રસ્તામાં માણસુર કથુભાઇ વાળા ક્રેટા કાર પુરઝડપે ચલાવીને આવ્યા હતા. જેમાં મનસુખ ભીખાભાઇ રાદડિયા અને મહેન્દ્ર મુળજીભાઇ ગજેરા કારની અડફેટે આવી ગયા હતા. ક્રેટાથી ઇજાગ્રસ્ત થતાં એકનું મોત થયુંમાણસુર કથુભાઇ વાળા ક્રેટાએ બે લોકોને ફંગોળતા બંને લોહિલુહાણ હાલતમાં થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી મોટા દેવળિયા ગામના મહેન્દ્ર ભાણાભાઇ વાળા બાઇક લઇને આવતા હતા તેને પણ ક્રેટાએ ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મહેન્દ્રભાઇ વાળાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ક્રેટા ચાલક ત્રણ જેટલા લોકોને ફંગોળીને ફરાર થઇ ગયો હતો. જે બાદ તેમના સગા-સંબંધીઓ એકત્ર થઇને ગેરકાયદેસર મંડળી રચીને ધારદાર હથિયારો સાથે ફરિયાદી રઘુ પદમાણી સહિત તેમની સાથે રહેલા ખોડા જેરામ પદમાણી, અતુલ ખોડાભાઇ પદમાણી, જયસુખ કુવરજીભાઇ અને સંજ્ય ખોડાભાઇને આડેધડ માથાના ભાગે માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઠપકો આપતા 50 લોકોનું ટોળુ ધસી આવ્યું બાબરા પોલીસ મથકમાં સામા પક્ષે હરદીપ દેવકુભાઇ વાળાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગામના જયેન્દ્ર ગૌસ્વામીના લગ્નમાં પોતે ઘોડી લઇને ગયા હતા. જેમાં ફુલેકા દરમિયાન સાગર પદવાણી ટ્રેકટર લઇને નીકળ્યો હતો જેણે ઘોડી સાથે પોતાનું ટ્રેક્ટર અથડાવ્યું હતું. જેથી તેમણે ટ્રેક્ટર ધીમુ ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જેનું મનદુ:ખ રાખીને 29 જેટલા અન્ય લોકો સાથે 50 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને લોખંડની પાઇપ-ધારિયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી જયસુખ કુવરજીભાઇ સાકરિયાએ લોખંડની પાઇપથી તેમને માથામાં માર માર્યો હતો. તેમજ તેમના પિતાને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત આરોપી જેરામ પદમાણીએ લોખંડની પાઇર મારી કુલદીપભાઇના હાથે ઇજાઓ પહોંચાજી હતી. આ ઉપરાંત આરોપીઓએ આડેધડ મારમારીને દેવકુભાઇ અને નાગરાજભાઇને હાથમાં ફેક્ચર કર્યું હતું. આમ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચીને જીવલેણ હુમલો કર્યો હતોય આ લોકોના નામજોગ સહિત 50થી વધુના ટોળા સામે FIR આ ઉપરાંત બીજા 50 જેટલા અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ ગામમાં શાંતિનો માહોલ; DySPઆ મામલે ડીવાઈએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં એકનું મોત થયું હોવાથી હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ ગામમાં શાંતિનો માહોલ છે. જોકે, શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ મામલે હાલ આગળની તપાસ અમે કરી રહ્યા છીએ.
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે વિદ્યાર્થીઓને 560 રૂપિયા લઈને સ્કાર્ફ આપવામાં આવ્યા છે. જેની ગુણવત્તાને લઈને વિરોધના સૂર ઊભા થયા છે. વિદ્યાર્થી વિકાસ સંગઠને સ્કાર્ફને લઈને વિરોધ કર્યો છે અને તેની નિંદા પણ કરી છે. વિદ્યાર્થી વિકાસ સંગઠનના વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી પાસેથી 560 રૂપિયા લઈને જે પોતા સ્કાર્ફ આપ્યો છે તેની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. આ ખૂબ જ શરમજનક અને નિરાશાજનક બાબત છે કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના 3થી 5 વર્ષના અભ્યાસ અને મહેનત પછી ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે, અને કેટલાક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જેવી સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેમને આવી નીચી ગુણવત્તાનો સ્કાર્ફ પહેરાવવો પડે છે. આ વિદ્યાર્થીઓના માન-સન્માનનો અપમાન છે. હું તેની કડક નિંદા કરું છું અને આ બાબતે વાઇસ ચાન્સેલર સુધી ફરિયાદ કરવામાં આવશે, જેથી સ્પષ્ટ થઈ શકે કે 560 રૂપિયા લઈ વિશ્વવિદ્યાલયે કોઈ ગોટાળો કર્યો છે કે કેમ? આવી નીચી ગુણવત્તાની વસ્તુ આપી વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે, જે અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજવામાં આવશે. જેમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 270 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પણ હાજર રહેશે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ગઢડા ભાગવત સપ્તાહ:આયોજકોએ ભવ્ય સામૈયું કરી સ્વાગત સન્માન કર્યું
બોટાદ જિલ્લાના ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં ડો. હિરાભાઈ સોલંકી દ્વારા પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહના પાંચમા દિવસે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. તેમની સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જયરાજભાઈ પટગીર, વિક્રમભાઈ બોરીચા, મુકેશભાઈ હિહોરીયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નિમુબેન બાંભણીયા અને અન્ય આગેવાનોનું કુવારીકાઓ દ્વારા તિલક કરીને ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે હિરાભાઈ સોલંકી, પારુલબેન ધરજીયા, રાધિકાબેન સોલંકી અને સુનિતાબેન સોલંકીએ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને શાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. અન્ય ઉપસ્થિત આગેવાનોનું રાજુભાઈ સોલંકી, વિનુભાઈ સોલંકી અને સુજલભાઈ ધરજીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ પોતાના ઉદ્બોધનમાં ડો. હિરાભાઈ સોલંકીની કોરોના સમયમાં કરેલી સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી વક્તા સમાજમાં કેવી રીતે જીવવું તે શીખવાડે છે. મંત્રીએ માતૃશક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે મહિલાઓ અનેક રૂપમાં કાર્ય કરે છે, તેથી જ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે સંબોધવામાં આવે છે અને માતૃશક્તિને વંદન કરવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવમાં લીન થયા હતા.
લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડાંગર સહિતના ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું છે. આના પરિણામે અનેક ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી, તેમજ આગામી શિયાળુ સિઝન માટે બીજ અને ખાતર ખરીદવા માટે પણ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર્વત રાઠવાના નેતૃત્વ હેઠળ અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, છેલ્લા સાત સીઝનથી વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોથી ખેડૂતો સતત નુકસાન ભોગવી રહ્યા છે. તેમ છતાં, રાજ્ય સરકારે રાહત પેકેજની માત્ર જાહેરાતો કરી છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોને સંપૂર્ણ ચુકવણી થતી નથી અથવા તો માત્ર 30 થી 35 ટકા રકમ જ મળે છે. કોંગ્રેસે માંગ કરી છે કે, યુપીએ સરકારના સમયમાં દેશભરના ખેડૂતોના રૂ. 78,000 કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા, તે જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ ઉપરાંત, 2020થી ગુજરાતમાં બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. કમોસમી વરસાદને કારણે મગફળીના પાકમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં છૂટછાટ આપીને ભેજયુક્ત મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે. સાથે જ, ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત અંગે ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોને યોગ્ય સમયે પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂત એકતા ઝિંદાબાદ અને ખેડૂતોને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કરીને સરકારે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી વડોદરાની બે દિવસની મુલાકાતે આવનાર છે. પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાં આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. બપોર બાદ તેઓ વાંકાનેરના એક પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે. અને પ્રાથમિક શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી ગ્રીન ગુજરાતનો સંદેશ આપશે. પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ માટે સાંજે તેઓ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરશે. શનિવારે સવારે રાજ્યપાલ ગાય દોહન અને ગૌશાળાની મુલાકાત લઈને એમ. એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓને મેડલ આપશે.
લિંક્ડઇન:તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે:નોકરી માટે દર મિનિટે 11 હજારથી વધુ અરજી સબમિટ થાય છે
એક મજાક વિશ્વભરમાં ચાલતી હોય છે કે અડધું વિશ્વ ફેસબુક (જે હવે મેટાના નામે ઓળખાય છે) એમાં રહે છે. એ મજાકને થોડી આગળ વધારવી હોય તો કહી શકાય કે દુનિયાભરના પ્રોફેશનલ્સ નોકરીને લગતા માધ્યમ લિંક્ડઇન પર રહે છે. જો કે અત્યારે 200 દેશોના એક બિલિયન્સ કરતા વધારે રજિસ્ટર્ડ સભ્યો ધરાવતા લિંક્ડઇન માટે આ વાત મજાક રહી નથી એવી ક્રાંતિ આ એમ્પ્લોયમેન્ટ સંબંધિત સાઇટે કરી છે. રોજગારલક્ષી સામાજિક નેટવર્કિંગ સેવાઅગેઇન જેનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ધ સિલિકોન વેલીમાં થયો છે એ લિંક્ડઇન એક અમેરિકન વ્યવસાય અને રોજગાર-લક્ષી સામાજિક નેટવર્કિંગ સેવા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ મુખ્યત્વે વ્યાવસાયિક નેટવર્કિંગ અને કારકિર્દી વિકાસ માટે થાય છે કારણ કે તે નોકરી શોધનારાને તેમના રેસ્યુમે એટલે કે સીવી પોસ્ટ કરવાની અને એમ્પ્લોયર્સને તેમને જે પ્રોફેશનલ મદદની કે નોકરી ખાલી હોય એ સૂચિ પોસ્ટ કરવાની મંજૂરી આપે છે. રિક્રુટર્સ લિંક્ડઇન પર આધાર રાખે છેઅને અત્યારે એ સ્થિતિ છે કે અમેરિકા સહિત દુનિયાભરની કંપનીઝ અને એના રિક્રુટર્સ સારા વ્યાવસાયિકો શોધવા માટે લિંક્ડઇન પર આધાર રાખે છે. આ ઉપરાંત તમે કોઇપણ કંપનીના કેરિઅરને લગતા વિભાગમાં જાઓ અને નોકરી માટે અપ્લાય કરો તો મોટાભાગની કંપની તમારા લિંક્ડઇન પ્રોફાઇલની લિંક માંગે છે તમારો રેફેરન્સ તપાસવા. આવી વિશ્વસનીયતા લિંક્ડઇને વ્યવસાયિક જગતમાં ઊભી કરી છે. વ્યવસાયિક દુનિયામાં ક્રાંતિ કરનાર આ લિંક્ડઇન 5 મે, 2003 ના રોજ રીડ હોફમેન અને એરિક લી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ રસપ્રદ કોન્સેપ્ટને સિકોયા કેપિટલ અને બીજા ઘણા વેન્ચર કેપિટાલિસ્ટ્સનું ફંડ તરત જ મળ્યું. 2003માં શરૂઆત થઇ2003માં જેની શરૂઆત થઇ એ લિંક્ડઇન ઓક્ટોબર 2010માં સિલિકોન વેલી ઇનસાઇડરની ટોચની 100 સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ્સ યાદીમાં 10 મા ક્રમે હતું. અત્યારે વિશ્વભરમાં ઓફિસીસ ધરાવનાર લિંક્ડઇનને ડિસેમ્બર 2016માં માઇક્રોસોફ્ટે 26.2 બિલિયન ડોલરમાં ખરીદ્યું. જે-તે સમયે તેમનું સૌથી મોટું જોડાણ હતું. જાન્યુઆરી 2011માં 45 ડોલરની કિંમતે પ્રથમ શેર બહાર પાડનાર લિંક્ડઇને ટ્વિટર જેવી કંપનીને રેવન્યુમાં જલ્દી પાછળ રાખી દીધી જે એની સફળતા દર્શાવે છે. 31 કરોડ માસિક સક્રિય યુઝર્સઆ પ્લેટફોર્મમાં આશરે 31 કરોડ માસિક સક્રિય યુઝર્સ છે. જેમાંથી 75% થી વધુ સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહે છે અને દર સેકન્ડે લગભગ 5 નવા સભ્યો નેટવર્કમાં જોડાય છે અને રસપ્રદ રીતે સ્ત્રીઓ કરતાં પુરુષો આ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. જેમાં આશરે 57% પુરુષ અને 43% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ઘણા વપરાશકર્તાઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં અડધાથી વધુ લોકો કોલેજની ડિગ્રી ધરાવે છે અને નોંધપાત્ર ભાગ ઉચ્ચ આવક ધરાવતા પરિવારમાંથી આવે છે. દર મિનિટે 11 હજારથી વધુ નોકરીની અરજી આવે છેતમે દુનિયામાં ક્યાંય પણ હોવ પણ નોકરી શોધતા હોવ કે તમારી કંપની શ્રેષ્ઠ એમ્પ્લોયી શોધતી હોય, લિંક્ડઇન નો ઉપયોગ આવશ્યક થઇ ગયો છે. કારણ કે અહીં દર મિનિટે 11,000 થી વધુ નોકરીની અરજીઓ સબમિટ થાય છે અને પ્લેટફોર્મ દ્વારા દર મિનિટે 6 લોકોને નોકરી પર રાખવામાં આવે છે. 95% થી વધુ ભરતી કરનારાઓ નવી પ્રતિભા શોધવા માટે લિંક્ડઇનનો ઉપયોગ કરે છે. અત્યારે આ પ્લેટફોર્મ 36 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે લિંક્ડઇન લર્નિંગ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે, જેના પર 23,500 થી વધુ કોર્સીસ છે. જેવા કે જેનરેટિવ એઆઇ, બુલિયન સર્ચ વગેરે. ફોર્બ્સ અનુસાર લિંક્ડઇન આજે નોકરી શોધનારાઓ અને કંપનીઝ માટે ઉપલબ્ધ સૌથી ફાયદાકારક સોશિયલ નેટવર્કિંગ સાધન છે. અમુક દેશમાં પ્રતિબંધ અમુક દેશના સિક્યોરિટી અને સેન્સરશિપ જેવા અમુક કારણોસર લિંક્ડઇન ચાઇના અને રશિયા જેવા દેશમાં બેન છે કે એનો ઉપયોગ નિયંત્રિત છે પણ અંતે વાત એટલી છે કે તમારે તમારું પ્રોફેશનલ બ્રાન્ડિંગ કરવું છે, તમારી જાતને શ્રેષ્ઠ વ્યવસાયિક તકો માટે ઉપલબ્ધ કરવી છે તો તમે લિંક્ડઇન પર હોવા જરૂરી છે અને એ વાત લિંક્ડઇનની સફળતા અને જરૂરિયાતની મોટી સાબિતી છે.
સેટેલાઈટમાં રહેતા સ્મિતા જૈને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મે, 2025થી આજ સુધી દહેરાદૂનના અરનવ ખુરાના સાથે કોમ્પ્યુટર સર્વરની ખરીદી કરી સાથે મળી ધંધો કરવા 8.14 લાખ રૂપિયા અરનવને આપ્યા હતા. જોકે ધંધો શરૂ કર્યા બાદ અરનવે કોઈ વેપાર કર્યો નહોતો કે કોઈ નફો પણ કર્યો નહોતો. ધંધાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતાં. આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી છે. સરદારનગરમાં કાર-રિક્ષામાંથી દારૂનો જથ્થો મળ્યોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં આવેલા ઓઝોન સોસાયટીના પાર્કિગમાં રેડ કરી હતી. ત્યારે દારૂની હેરાફેરી કરતો જીતેન્દ્ર સિંધી પોલીસન જોઈને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતા કાર અને ઓટોરિક્ષામાંથી અલગ-અલગ બ્રાન્ડની 754 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 1.53 લાખના દારૂ સહિત કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂ મામલે ફરાર જીતેન્દ્ર સિંધી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા દેશના સ્વાતંત્ર્ય ચળવળના પ્રેરણાસ્થાન રહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150મા વર્ષના ઉપક્રમે વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર, 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્યભરમાં સરકારી ઓફિસનો સમય સવારે 9:30થી સાંજે 5:10 સુધીનો રહેશે. તમામ સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પાલિકા તથા નગરપાલિકાઓમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના સંગીત સાથે સમૂહગાનનું આયોજન થશે. રાજ્યસ્તરે મુખ્ય કાર્યક્રમ વિધાનસભા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશેરાજ્યસ્તરે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે, જ્યારે જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમો થશે. સવારે 9:30 વાગ્યે અધિકારીઓ-કર્મચારીઓએ ‘વંદે માતરમ’નું રાષ્ટ્રગીત સમૂહમાં ગાશેપરિપત્રમાં જણાવાયું છે કે દરેક વિભાગો અને કચેરીઓમાં સવારે 9:30 વાગ્યે અધિકારીઓ તથા કર્મચારીઓએ ‘વંદે માતરમ’નું રાષ્ટ્રગીત સમૂહમાં ગાવાનું રહેશે અને તે પછી સ્વદેશીની શપથ લેવાશે. રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનની ભાવનાને મજબૂત બનાવવાનો હેતુઆ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ અને સ્વાભિમાનની ભાવનાને મજબૂત બનાવવાનો હોવાનું રાજ્ય સરકારએ જણાવ્યું છે. પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા સૂચનાઅધિક સચિવ (પ્રોટોકોલ) જ્વલંત ત્રિવેદી દ્વારા આ પરિપત્ર રાજ્યના તમામ વિભાગો, જિલ્લા કચેરીઓ અને સંસ્થાઓને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચિત કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં માર ખાતા યુવક યુવકના પરિજનોના આક્ષેપો મુજબ, સુરતમાં ભોલા ભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી, માર મારીને તેની પાસે માફી મંગાવી હતી. તેમજ યુવકને તાળવું ચટાવ્યું હતું. યુવક વીડિયોમાં કહી રહ્યો હતો કે, 'ભોલા ભાઈ, મને માફ કરી દો... હવે હું ક્યારેય સુરત નહીં આવું...'. વાઇરલ વીડિયો બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલો મધ્યપ્રદેશના સિધી જિલ્લાનો 26 વર્ષીય યુવક આખરે મહારાષ્ટ્રના પુણેમાંથી સહી-સલામત મળી આવ્યો છે. યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો અને વીડિયોમાં થયેલી ક્રૂરતાથી ડરીને તે તેના મિત્ર ક્રિષ્ના યાદવને મળવા પુણે જતો રહ્યો હતો. 'ભોલા ભાઈ, મને માફ કરી દો...હવે હું ક્યારેય સુરત નહીં આવું'સુરતમાં યુવકને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વીડિયો સામે આવ્યા હતા. જેમાં માર ખાતો યુવક ભયભીત અને ડરેલો નજરે પડતો હતો. તે વારંવાર હાથ જોડીને માફી માગતો અને વિનંતી કરતો હતો કે, 'ભોલા ભાઈ, મને માફ કરી દો...હવે હું ક્યારેય સુરત નહીં આવું' આ દરમિયાન, વીડિયોમાં સામે હાજર યુવક તેને ધમકી આપતો હતો કે, જો તે તેની વાત નહીં માને તો તેને ચાકુ મારી દેવામાં આવશે. લાલ ટી-શર્ટમાં રહેલો વ્યક્તિ યુવક પાસે તાળવું ચટાવી રહ્યો હતોઅન્ય એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં લાલ રંગના ટી-શર્ટમાં રહેલો એ જ વ્યક્તિ યુવક પાસે તાળવું ચટાવી રહ્યો હતો. સાથે તેના વાળ ખેંચીને તેને સતત માર મારી રહ્યો હતો અને બળજબરીથી માફી માગવા માટે કહી રહ્યો હતો. માર મારનાર યુવકના હાથમાં ચપ્પુ પણ દેખાય છે, જે તે વારંવાર બતાવીને ધમકાવી રહ્યો છે. યુવક માર ખાતા માફી માંગીને કહી રહ્યો છે કે, 'આજ પછી હું ક્યારેય પણ પોતાનું મોઢું નહીં બતાવું, ક્યારેય સુરત પણ નહીં આવું. માત્ર મને એકવાર માફ કરી દો'. જે તમામ દૃશ્યોને લાલ ટી-શર્ટમાં રહેલા વ્યક્તિએ મોબાઇલમાં કેમેરો ઓન રાખીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થયા બાદ યુવક ગુમ થઈ ગયો હતોવીડિયો વાઇરલ થયા બાદથી જ યુવકનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો અને પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો. યુવકના પિતા મહેશ પાંડેએ ભારે હૃદયે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર સુરતમાં કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. યુવકની માતા કમલા પાંડે નેત્રહીન છે અને ઘરમાં અન્ય કોઈ ટેકો નથી. પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે, વીડિયોમાં ધમકી આપ્યા મુજબ તેમના પુત્ર સાથે કોઈ ગંભીર અનહોની થઈ હોઈ શકે છે. મધ્યપ્રદેશ પોલીસે યુવકને પુણેથી શોધી કાઢ્યોયુવક લાપતા થતાં બુધવારે સવારે લગભગ 11 વાગ્યે યુવકનો પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઈન્ચાર્જ રાજેશ પાંડેને લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહીસલામત વાપસીની માગ કરી હતી. વાઇરલ વીડિયોમાં માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો. આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરીને તેને પુણેથી શોધી કાઢ્યો છે. મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ચૂકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. ક્રિષ્ના યાદવ વિકી ઉર્ફે વિક્રમે યુવક સાથે મારપીટ કરીબહરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ પાંડેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવક પાંડે સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક હજીરા રીંગરોડ ખાતે આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો. યુવક મળી ગયો છે. અમે તેને પુણેથી તેના વતન લઈને આવી રહ્યા છીએ અને તે ઇન્દોર સુધી પહોંચી ગયો છે. ગોલુ યાદવના ઢાબા પરથી તે બે દિવસ પહેલાં પોતાના મિત્ર ક્રિષ્ના યાદવને મળવા માટે પુણે જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો. આ ક્રિષ્ના યાદવ વિકી ઉર્ફે વિક્રમે જ આ યુવક સાથે મારપીટ કરી છે. યુવકનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરાશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે યુવકને લઈને આવી રહ્યા છીએ, ત્યાર પછી તે પોતાનું નિવેદન લખાવશે. આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તે અંગેની તપાસ કરવામાં આવશે. આ ઘટના પાછળનું કારણ શું હતું તે પણ જાણવામાં આવશે. યુવક આવી જશે ત્યાર પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીને ઘટના સ્થળ પર રિપોર્ટ મોકલી આપીશું.
અમીરગઢના જાંજરવા ગામે વીર મહારાજના મંદિરે આદિવાસી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ આવતીકાલે અંબાજી ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આદિવાસી સમાજનો મુખ્ય પ્રશ્ન જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ છે. આના વિરોધમાં આગળ કઈ રીતે લડવું તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક યોજાઈ હતી. સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કચેરીઓ, જેમ કે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં, અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. તેઓ મુખ્યમંત્રી સમક્ષ આ સમસ્યાના નિરાકરણ માટે સમયમર્યાદા પૂછશે. આ ઉપરાંત, આગામી 17મી તારીખે ટ્રાયબલ વિસ્તારની શાળાઓને એક દિવસ માટે બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ નિર્ણય અમીરગઢ તાલુકાની તમામ ટ્રાયબલ શાળાઓને લાગુ પડશે. આ અંગે ધ્રાંગી રાકેશભાઈએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટિંગમાં મારી કંડક્ટર માં નોકરી લાગી હતી ત્યારથી ત્રણ વર્ષ અત્યારે થઈ ગયા છે. પ્રમાણપત્ર ખરાઈ માટે ગાંધીનગર દ્વારા પુરાવા આપવા પડશે તેવું કહેવામાં આવ્યું હતું, મેં બધા જ પુરાવા આપ્યા હતા, ત્યારે એમને કહ્યું કે, વર્ષ 1950 પહેલાનું શાળા રેકોર્ડ લઈને આવો. જે બધા પુરાવા આપવા છતાં એ જાતિ પ્રમાણપત્ર રદ કરવા માટે ભલામણો કરે છે. તમે વર્ષ 1950 પહેલાના ભણેલાના પુરાવા લઈને આવો. ત્યારે અમારા પર દાદાઓ બધા અભણ હતા, જે તે સમયે શાળાની કોઈ સ્થાપના ન હતી. ગામમાં ભણતર ન હતું એટલે જે તે સમયનું શાળાનું રેકોર્ડ મળતું નથી. મેં બધા પુરાવા આપ્યા છતાં આજદિન સુધી મારે સાડા ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ જાતિના દાખલાનું નિરાકરણ આવ્યું નથી. જેના લીધે મને ઓર્ડર મળતો નથી. કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી તો ખાલી આશ્વાસન આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કશું નિરાકરણ આવતું નથી. અંગે ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે આજે સમગ્ર આદિવાસી સમાજનો સળગતો પ્રશ્ન કે જે જાતિ અંગેના દાખલાઓમાં હેરાનગતિઓ થાય છે, પુરાવાને નામે આ વિશ્લેષણ સમિતિના અધિકારીઓએ યુવાનોનું જીવવાનું હરામ કરી નાખ્યું. એમના દાખલાઓ રદ્દ કરવાના હુકમો કર્યા. એના વિરોધમાં આગળ કઈ રીતના લડવું અને કઈ રીતના રણનીતિ બનાવવી એ બાબતની મીટિંગ હતી. અમારા વિસ્તારમાં આવતીકાલે મુખ્યમંત્રી પધારી રહ્યા છે. તો અમે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે જેમને સરકારી નોકરીઓ મળી છે કે જેમના દાખલાઓ નથી મળ્યા, એમની રજૂઆતો લઈ સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, આગેવાનો સાથે મુખ્યમંત્રી સમક્ષ જવાના છીએ. કેમ કે કલેક્ટર કચેરીએ કે મામલતદાર કચેરીએ અનેક આવેદનપત્ર આપીને અમે થાકી ચૂક્યા. હવે મુખ્યમંત્રીને આવેદન આપીને ત્યાં માંગણી કરવાની છે કે તમે અમારી આ સમસ્યાનું કેટલા સમયમાં નિરાકરણ લાવશો. આવનારી 17 તારીખ છે, એ સમગ્ર અમીરગઢ તાલુકામાં શાળા બંધનું એલાન પણ આપ્યું છે. આવનારા સમયમાં ગામે ગામ જઈ સંકલન કરી અને 17 તારીખે શાળા (અમારા જે ટ્રાઇબલ વિસ્તારની જે મૂળ શાળાઓ છે) એ શાળાને એક દિવસીય બંધનું એલાન કરીએ છીએ.
રાજકોટમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભાના 23.91 લાખ મતદારોનું વેરિફિકેશન કરવા માટે 2490 બુથ લેવલ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. 7 નવેમ્બર સુધીમાં ફોર્મ વિતરણ અને 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ કલેક્ટર કરી લેવામાં આવશે. જે બાદ જે વ્યક્તિ ગેરહાજર હશે તો તેનું નામ મતદારયાદીમાંથી રદ કરી દેવામાં આવશે. બાદમાં ડ્રાફ્ટ ઇલેક્ટરોલ રોલ પ્રસિદ્ધ કર્યા બાદ 7 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટરોલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટ શહેર-જિલ્લાની 8 વિધાનસભામાં 23.91 લાખ મતદારોરાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાતમાં SIR ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે અંતર્ગત મતદારો શિફ્ટ થઈ ગયા હોય કે મૃત્યુ પામ્યા હોય તો તે અંગેની પણ માહિતી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ખાસ ફેમિલી લિંકેજ કરવામાં આવે છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભામાં 23,91,027 મતદારો છે. 2256 BLO ને આ કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે 233 બીએલઓ સુપરવાઇઝર છે. 7 નવેમ્બર સુધીમાં 100 ટકા ફોર્મનું વિતરણ કરી દેવામાં આવશે. જે બાદ 4 ડિસેમ્બર સુધીમાં તમામ ભરેલા ફોર્મ એકત્રિત કરી લેવામાં આવશે. કયા મતદારે કયું ફોર્મ ભરવાનું રહેશે?આ ફોર્મમાં વધારે પોતાની એન્ટ્રી કરવાની રહે છે. જેમાં 1 જુલાઈ, 1987 પહેલા જન્મેલા જે મતદારો છે તેમનું નામ વર્ષ 2002 ની મતદાર યાદીમાં હતું તો તેમને માત્ર આમાં પોતાની વિગતો ભરવાની રહેશે. જેમાં તેઓએ 2002 ની મતદાર યાદીમાં રહેલો પોતાનો પાર્ટ નંબર અને ભાગ નંબર લખવાના રહેશે. જે મતદારો 1, જુલાઈ 1987 પછી અને 2 ડિસેમ્બર, 2004 પહેલા જન્મ્યા હોય તેવા મતદારોએ પોતાની ફેમિલી સાથે લિંકેજ કરવાનું રહેશે. વર્ષ 2002 ની મતદાર યાદીમાં તેમના માતા, પિતા સહિતના નામ લખવાના રહેશે. જો તે લીંક નહીં થઈ શકે તો તેવા મતદારોએ પોતાના માતા અથવા પિતા કોઈ એકના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. 4 ડિસેમ્બર 2025 સુધીમાં 23.91 લાખમાંથી જેટલા મતદારોના ફોર્મ પરત નહીં મળે તો એવું માનવામાં આવશે કે તે મતદાર ગેરહાજર છે, શિફ્ટ થઈ ગયા છે અથવા તો તેમનું મૃત્યુ થયું છે જેથી આ પ્રકારના મતદારોના નામ રદ થઈ જશે. જે બાદ 9 ડિસેમ્બર 2025 ના ડ્રાફ્ટ ઇલેક્ટરોલ રોલ પબ્લિશ કરવામાં આવશે. જે બાદ ક્લેમ્સ અને ઓબ્જેક્શન હશે તો પણ તે સ્વીકારવામાં આવશે. આ સાથે જ નવા મતદારો તેમજ અન્ય જગ્યાએથી જે રાજકોટ આવ્યા હોય તેમના ફોર્મ પણ કલેક્ટ કરવામાં આવશે. જે બાદ 31 જૂન 2026 સુધી હોયરિંગની કામગીરી ચાલુ રહેશે. નોટિસ પિરિયડ 9 ડિસેમ્બર, 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધીનો રહેશે. જે બાદ ફાઇનલ ઇલેક્ટરોલ રોલ 7 ફેબ્રુઆરી, 2026 ના જાહેર કરવામાં આવશે.
ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીક આવેલી અતિથિ હોટલ પાસે ડ્રેનેજ લાઈનમાં એક મોટો ભુવો પડ્યો હતો. આ ભુવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિકારીઓએ ભુવાને પૂરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેસીબી મશીનનો ઉપયોગ કરીને ભુવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. આ તાત્કાલિક સમારકામના કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને અકસ્માતનો સંભવિત ખતરો ટળ્યો હતો.
Bihar Election 2025: બિહારમાં ડેપ્યુટી CMની કાર અટકાવી તો બોલ્યા આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે.. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરી 16 બેડનો નવો AC વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ વોર્ડમાં અચાનક લાઈટ ગુલ થતા સયાજી હોસ્પિટલના તબીબોને બેટરીના અજવાળે દર્દીઓની સારવાર સહિતની કામગીરી કરવાની ફરજ પડી હતી. જેને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેના જીવ પણ જોખમ મુકાયા હતા. વીજળી ગૂલ થતા ટોર્ચના અજવાળે સારવાર કરવી પડીવડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. વડોદરા શહેર - જિલ્લા, ગુજરાત ઉપરાંત અને રાજ્ય બહારથી પણ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે, જેને પગલે લાભ પાંચમના શુભ દિવસે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરીને 16 બેડનો એક નવા AC વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. સારી સુવિધા હોવા છતાં દર્દીઓને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. AC વોર્ડમાં અચાનક જ લાઈટ ગુલ થઈ હતી. જેના કારણે દર્દીઓને લાવવા લઈ જવા મુશ્કેલી ઊભી થઈ હતી. આ ઉપરાંત સારવાર માટે તબીબો અને ફરજ પરના સ્ટાફને બેટરીનો સહારો લેવાની ફરજ પડી હતી. થોડા સમય બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થતા તબીબો, દર્દીઓ અને તેમના સ્વજનો સહિત કર્મચારીઓએ રાહત અનુભવી હતી. જનરેટરની સુવિધા છે, પણ ચાલુ કરવામાં વાર લાગી હશે- RMOઆ મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણ એ જણાવ્યું હતું કે, નવા તૈયાર કરાયેલા વોર્ડમાં જનરેટરની સુવિધા છે. પરંતુ લાઈટ જતી રહેતા જનરેટર ચાલુ કરવામાં થોડી વાર લાગી હતી, જેને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે દસ મિનિટમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે આ વખતે વીજ પુરવઠાને લઈને વિવાદ ઉભો થયો છે, ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે, આ પ્રકારે લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડ્સમાં આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ હાલમાં બજારમાં ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ નીચા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠીને પોતાની ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમને પ્રતિ કિલો રૂ. 2.5થી લઈ રૂ. 5 સુધીના જ ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ રૂ. 50 થી શરૂ થઈને માત્ર રૂ. 200 સુધી જ છે, જે ખેડૂતો માટે પાયમાલી સમાન છે. ત્યારે સરકાર સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીનો ભાવ ન મળતાં ખેતર ખેડી નાખવાનો વારો વાંકાનેરના ખેડૂત જાકિરભાઈ ભોરણીયાએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણાવ્યું કે તેઓ 135 રૂપિયાના ભાવે ડુંગળી લઈને આવ્યા હતા. જેમાં તેમને રૂ. 130નો ભાવ મળ્યો છે. એટલે કે, તેમને માંડ રૂ.5 થી 6 પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે. આ ભાવે તેમને વળતર મળતું નથી અને ઊલટું નુકસાન થઈ રહ્યું છે. એક વીઘા દીઠ રૂ. 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં હાલમાં રૂ. 350 થી 400 રૂપિયાની મજૂરી અને રૂ. 14થી 15 બિયારણનો ખર્ચ અને ભાડાનો ખર્ચ ઉમેરવામાં આવે તો તેમને લઈને આવવાથી લઈને ઉપાડવા સુધીના ખર્ચ બાદ એક રૂપિયો પણ વધતો નથી, ઊલટું નુકસાની જઈ રહી છે. નીચા ભાવ માટે સરકારી નીતિ અને નિકાસ પર પ્રતિબંધ જવાબદાર વધુમાં તેમણે જણાવ્યું કે તેઓએ 15 થી 20 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે, પરંતુ આ ભાવોને કારણે હવે તેમણે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દેવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે તેઓ હવે ડુંગળીનું વાવેતર નહીં કરે, કારણ કે તેમાં ખોટ જઈ રહી છે. ડુંગળીના આટલા નીચા ભાવ મળવાના કારણો વિશે જાકિરભાઈએ સરકારની નીતિઓ અને ખાસ કરીને ભાજપ સરકારની અમુક નીતિઓને જવાબદાર ગણાવી હતી. અને કહ્યું હતું કે ગયા વર્ષે સરકારે નિકાસ પર બેન મૂક્યો હતો, જેના કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. રાજકોટના અન્ય ખેડૂત શૈલેષભાઈએ પણ ડુંગળીના ભાવને લઈને પોતાની પીડા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે બજારમાં ભાવ માત્ર રૂ. 100થી 125 ચાલી રહ્યા છે, જેના કારણે મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. તેમણે પણ 3 વીઘામાં વાવેતર કર્યું છે અને મજૂરી ખર્ચ નહીં નીકળવાને કારણે ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દેવાનું મન બનાવી લીધું છે. શૈલેષભાઈના મતે ડુંગળીના ભાવ ઓછામાં ઓછા રૂ. 500 થી 600 હોવા જોઈએ, જે તેમને દર વર્ષે મળે છે, પરંતુ આ વર્ષે મળ્યા નથી. આ વર્ષે ડુંગળીના વાવેતરમાં તેમને રૂ. 25,000 જેટલી જાત નુકસાની ગઈ છે, તેથી આવતા વર્ષે તેઓ ડુંગળી વાવશે નહીં. ખેડૂતોની સરકાર પાસે માંગ: નિકાસ ચાલુ કરો અને ટેકો આપો બંને ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે જો સરકાર ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરીને મદદ કરે અથવા ખેડૂતોને સહાય પૂરી પાડે, તો જ ખેડૂતો ટકી શકશે, નહીં તો આ પરિસ્થિતિમાં ખેડૂત સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે. શૈલેષભાઈએ ખાસ કરીને માંગ કરી કે સરકારે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ, જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય પારિતોષિક મળી શકે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે બમ્પર ઉત્પાદન છતાં યોગ્ય બજાર વ્યવસ્થા અને સમયસર સરકારી નીતિના અભાવે ખેડૂતોને પોતાનો પાક નુકસાન સાથે વેચવાની કે નષ્ટ કરી દેવાની ફરજ પડી રહી છે.
સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટની અંદર આવેલી 'મનોજ સિલ્ક' નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.ચાર જુદા-જુદા ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની સમયસર અને તાત્કાલિક કામગીરીના કારણે આગને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પહેલા જ સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આગમાં મોટાભાગનો કાપડનો જથ્થો બળીને ખાખ થયોઘટનાની ગંભીરતાને જોતા ફોસ્ટા (FOSTTA) અધ્યક્ષ કૈલાશ હકીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અને વેપારીઓને સાંત્વના આપી હતી. આગના કારણે 'મનોજ સિલ્ક'ની દુકાનમાં રહેલો કિંમતી કાપડનો માલસામાન મોટા પ્રમાણમાં નુકસાન પામ્યો છે, જેના કારણે વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. આગમાં નુકસાન પામેલા ચોક્કસ માલસામાન અને આર્થિક નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાનફાયર વિભાગ દ્વારા હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. સુરતના કાપડ બજારમાં આવી ઘટના બનતી હોવાથી, વેપારીઓ અને માર્કેટ એસોસિયેશનો માટે આગ સલામતીના કડક નિયમોનું પાલન કરવું અને નિયમિત તપાસ કરવી અનિવાર્ય બની ગયું છે.
પાવીજેતપુર નજીક સિહોદ ખાતે ભારજ નદી પર સ્થાનિક યુવાનો દ્વારા પાંચમી વખત 'જનતા ડાયવર્ઝન' પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સુખી ડેમમાંથી પાણી છોડાવાને કારણે ચોથી વારનું ડાયવર્ઝન બંધ થયા બાદ, આ હંગામી માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. આનાથી છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશ તરફના લોકોને 40 કિલોમીટરના વધારાના ફેરામાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને સુખી ડેમમાંથી પાણી છોડવાના કારણે આ માર્ગ સંપર્ક તૂટી ગયો હતો. પરિણામે, સ્થાનિકોને દૈનિક અવરજવર અને ધંધા-રોજગાર માટે લાંબો ફેરો ફરવાની ફરજ પડતી હતી, જેનાથી સમય અને ઈંધણનો વ્યય થતો હતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.સિહોદ, સિથોલ અને રાસલીના જાગૃત યુવાનોએ તાત્કાલિક ધોરણે પગલાં લીધા હતા. તેમણે ડાયવર્ઝનનો જે ભાગ પાણીના પ્રવાહને કારણે તૂટી ગયો હતો, તેનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું. અગાઉ મૂકવામાં આવેલી પાઇપો સલામત રહેતા, યુવાનોની મહેનતથી આ ડાયવર્ઝન ઝડપથી પુનઃસ્થાપિત થઈ શક્યું.પાંચમી વાર ડાયવર્ઝન તૈયાર થતાં જ સ્થાનિકો, મુસાફરો અને આ વિસ્તારના વેપારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. ડાયવર્ઝન ખૂલતાની સાથે જ વાહનવ્યવહાર ફરી કાર્યરત થયો છે. એક તરફ સ્થાનિક જનતાએ પોતાના ખર્ચે અને શ્રમથી પાંચ-પાંચ વાર આ સમસ્યાનો હંગામી ઉકેલ લાવીને સંકટ ટાળ્યું છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની ધીમી ગતિ સામે રોષ યથાવત્ છે. સ્થાનિક લોકોની હવે પ્રબળ માંગ છે કે સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે સિહોદ ખાતે ભારજ નદી પર કાયમી સરકારી ડાયવર્ઝન બનાવે અને વહેલી તકે પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે, જેથી આ પુનરાવર્તિત થતી મુશ્કેલીમાંથી કાયમી મુક્તિ મળી શકે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં એક ખેડૂતે કમોસમી વરસાદથી પલળી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ખેડૂતનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાબાળમાં ખેડૂતનો 7 વિઘાનો પાક બગડી ગયો જાબાળ ગામના ખેડૂત મુકેશભાઈની 7 વીઘા જમીનમાં મગફળીનો પાક તૈયાર હતો. અચાનક આવેલા વરસાદને કારણે મગફળીના પાથરા સંપૂર્ણપણે પલળી ગયા હતા, જેનાથી પાકને ભારે નુકસાન થયું હતું. હજી સુધી સહાય પેકેજ જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષખેડૂતોમાં ખેતીવાડીમાં થયેલા નુકસાન બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપક બન્યો છે. સરકાર સુધી વાત પહોંચાડવાનો ખેડૂતનો પ્રયાસમુકેશભાઈએ પોતાના પાકને સળગાવીને સરકાર સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયો દ્વારા તેઓ સરકાર પર દબાણ લાવવા માંગે છે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડીઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદથી ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે ખેડૂતોની કફોડી હાલત દર્શાવે છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદલી સીલ પેક ચીઝ કેક ફૂગવાળી નીકળી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ફૂડ વિભાગ સમક્ષ કાર્યવાહી કરવાની માગ કરી હતી, ત્યારબાદ આજે વડોદરા ફૂડ વિભાગની ટીમે સંતુષ્ટિના આઉટલેટમાં જઈને તપાસ શરૂ કરી છે. આ મામલે સંતુષ્ટિના મેનેજરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દર્શન પટેલ અને યશ ડુંગરાણી નામના બે વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહે છે. તેઓ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના સંગમ ચાર રસ્તા પાસે આવેલી સંતુષ્ટિ મેક્સ એન્ડ મોરની શાખામાં ગયા હતા. ત્યાંથી તેમણે રૂ.190ની કિંમતના બે સીલ્ડ પેક ચીઝ કેક ખરીદ્યા હતા અને 380 રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ચીઝ કેક ખોલ્યા બાદ ખરાબ નીકળી હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. જેને પગલે વડોદરા મહાનગર પાલિકાનું ફુડ વિભાગ એક્સનમાં આવ્યું છે અને સંતુષ્ટી આઉટલેટમાં જઈને ચેકીંગ હાથ ધર્યું છે. વિદ્યાર્થી યશ ડુંગરાણીએ કહ્યું હતું કે, અમે જ્યારે કેક ખોલીને ચેક કરી, ત્યારે તે ફૂગ ચડેલી અને સડેલી જોવા મળી હતી. આ જોઈ તેઓએ તુરંત જ આઉટલેટના સ્ટાફને માહિતી આપી હતી. આશ્ચર્યજનક રીતે કર્મચારીઓએ કેક સૂંઘવા કે તપાસવા પણ ઇન્કાર કર્યો હતો. બાદમાં સંચાલક સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં મેનેજરે ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે “આ અમારી બ્રાન્ડ છે, પસંદ ના આવે તો બીજી લઈ લો, જે થાય તે કરી લો. વિદ્યાર્થી દર્શન પટેલે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ પણ આઉટલેટમાંથી 2 ચીઝ કેક ખરીદી ચૂક્યા છે, જેથી તેની મૂળ ટેસ્ટ અને ગુણવત્તા વિશે માહિતી છે. ચીઝ કેકમાંથી ખાટી સ્મેલ આવે છે, અમે ચીઝ કેક પાછી આપવા આવ્યા હતા તેના કર્મચારીઓ પણ સ્મેલ લઈ શકતા ન હતા. મેનેજર નો સંપર્ક કર્યો પરંતુ તેમનો રિસ્પોન્સ બરાબર ન હતો ચીઝ પેક પર એક્સપાયરી તારીખ લગાવવામાં આવી નથી, જેથી તેઓ ગમે એટલા દિવસ સુધી વેચી શકે છે. વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને વિનંતી કરી છે કે, વડોદરાના તમામ સંતુષ્ટિના આઉટલેટમાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે, ફૂડ સેફ્ટી ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે અને આવા ઉત્પાદનો પર એક્સપાયરી તારીખ ફરજિયાત રીતે દર્શાવવામાં આવે. સાથે જ, સંચાલક દ્વારા અપાયેલા ઉડાઉ જવાબ અંગે પણ કાર્યવાહી કરવા માગ કરી છે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ફરી ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. આજે સંતુષ્ટીમાં ચેકિંગ માટે ગયેલા વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર અંકુર શાહે જણાવ્યું હતું કે, અમે સંતુષ્ટીમાં એ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે, ઇન્સ્પેક્શન કર્યા પછી સુધારણા નોટિસ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ જે ફરિયાદ કરી હતી તે ચીઝ કેક અહીં હાજર નથી. જેથી તેનું સેમ્પલ લઈ શકાયું નથી. સમગ્ર ઘટના અંગે સંતુષ્ટીના મેનેજર જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાય જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કેક ખરીદ્યા બાદ દોઢ કલાક સુધી બહાર મૂકી રાખી હતી. આ પ્રકારની વસ્તુ ફ્રીઝરમાંથી બહાર કાઢ્યા બાદ અડધો કલાકમાં ખાઈ જવાની હોય છે. વધારે સમય બહાર રહે તો બગડી જાય છે. અમે લોકો ફ્રીઝર પર એક્સપાઇરી ડેટ લખીએ છીએ. જેથી પ્રોડક્ટ પર લખી હોતી નથી.
પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. બ્રેઇન ડેડ જાહેર કરાયેલા 55 વર્ષીય દિપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેના થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલી અંગદાનની ઝુંબેશ વચ્ચે આ ઘટના 6 નવેમ્બરના રોજ બની હતી. 55 વર્ષીય દિપકભાઈ ભવાનભાઈ પરમારને તારીખ 6 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમયે તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દિપકભાઈ તરફથી તેમનું લીવર તથા કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું. તેમના આ નિર્ણયના કારણે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. આ અંગદાન ધારપુર હોસ્પિટલ માટે એક પ્રેરણાદાયી પહેલ બની છે. અંગદાનનો નિર્ણય લેવાતા જ ધારપુર હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. લીવરને ધારપુરથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKD કિડની હોસ્પિટલ) સુધી પહોંચાડવામાં આવ્યું હતું. IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયાને સુચારુ રીતે પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, RMO, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ડીન સાહેબનો સહયોગ રહ્યો હતો. આ અંગદાન દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા એક વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમિત બઘેલ વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, અમિત બઘેલે તારીખ 26 ઓક્ટોબર, 2025ના રોજ રાયપુરમાં એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સિંધી સમાજના ઇષ્ટદેવ, ભગવાન વરુણદેવના અવતાર અને શ્રદ્ધાના પ્રતિક ઝુલેલાલ ભગવાન માટે અત્યંત અપમાનજનક શબ્દો વાપર્યા હતા. બઘેલે માત્ર ઇષ્ટદેવનું જ નહીં, પરંતુ સમગ્ર સિંધી સમાજનું પણ અપમાન કર્યું છે. તેમણે સમસ્ત સિંધી સમાજને 'પાકિસ્તાની સિંધી' કહીને અપમાનિત કર્યા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, અમિત બઘેલની આ ટિપ્પણીઓથી ભારતના સમસ્ત સિંધી સમાજની સાથે કરોડો ધર્મપ્રેમી નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સિંધી પંચાયતે આવેદનપત્રમાં સિંધી સમાજની રાષ્ટ્રભક્તિની રજૂઆત કરી હતી અને 'પાકિસ્તાની સિંધી' કહેવા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, સિંધી સમાજના લોકો દેશભક્ત, શાંતિપ્રિય અને વિનમ્રતાથી પોતાના વેપાર-વ્યવસાયમાં રહેનારા ભારતીય નાગરિકો છે. રાષ્ટ્રગાનમાં પણ 'સિંધ'નો ઉલ્લેખ છે અને સિંધી ભાષાને ભારતના સંવિધાનની આઠમી સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજે યાદ અપાવ્યું કે, અમર શહીદ હેમુ કાલાણી સહિત અનેક પૂર્વજોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. દેશની સ્વતંત્રતા વખતે સિંધી સમાજે પોતાનો સિંધ પ્રાંત, માતૃભૂમિ, જમીન-જાયદાદ અને સંપત્તિ બધું જ ત્યાગી દીધું હતું. તેમ છતાં 'પાકિસ્તાની સિંધી' કહીને સમગ્ર સમાજને અપમાનિત કરીને માનસિક હતાશા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાટણ જનરલ સિંધી પંચાયતના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સિંધી સમાજે કલેક્ટરને વિનંતી કરી હતી કે, અમિત બઘેલે સામાજિક એકતા અને શાંતિભંગ કરી, ભાઈચારાની ભાવનાને દુભાવી તેમજ ધાર્મિક અને જાતીય અશાંતિ ફેલાવવા લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આથી, તેમની વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધીને યોગ્ય કાયદેસરના પગલાં લેવામાં આવે.
કચ્છમાં સતત ત્રીજા દિવસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુન્દ્રા તાલુકાના વવાર ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 4,30,944/- આંકવામાં આવી છે. પોલીસે દારૂ, એક સ્વિફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,35,944/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠી અને પીએસઆઇ જે.બી. જાદવની સૂચનાથી એ.એસ.આઈ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી અને મહેશભાઈ ચૌહાણ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, વવાર ગામ નજીક નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર માણશીભાઈ ગઢવીની વાડીમાં રતન સુમાર બારોટ (રહે. વવાર, તા. મુંદરા) એ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરની સ્વિફ્ટ કારમાં રાખ્યો હતો અને તેને સગેવગે કરવાની તૈયારીમાં હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 420 નાની-મોટી બોટલો અને 528 બિયરના ટીન/બોટલો મળી કુલ રૂ. 4,30,944/- નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, GJ-12-CD-2995 નંબરની સ્વિફ્ટ કાર (કિંમત રૂ. 3,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000/-) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી આરોપી રતન સુમાર બારોટ (ગઢવી) (ઉ.વ. 33, રહે. વવાર, તા. મુંદરા-કચ્છ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી ભરત રતન ગઢવી (રહે. વવાર, તા. મુંદરા-કચ્છ) ફરાર છે. પોલીસે આ અંગે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક છે.જો 06 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે કોર્ટે કહ્યું આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે, જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. જ્યારે પીડિતાના વકીલ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે.હંગામી જામીન આપવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે ચારવાર હંગામી જામીન લંબાવ્યાઆ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા. 18 ઓગસ્ટે અમદાવાદ સિવિલમાં મેડિકલ ચેકઅપ થયુંઆ પહેલાં આસારામને જોધપુર હાઇકોર્ટના ઓર્ડરને પગલે 18 ઓગસ્ટ, 2025ની સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. ખાનગી બોડીગાર્ડના કાફલા સાથે આવેલા આસારામની ઓપીડી અને ટ્રોમા સેન્ટરમાં તપાસ દરમિયાન અંદાજે ત્રણથી ચાર કલાક સુધી દર્દી-સગાંને હાલાકી ભોગવવી પડી હતી. આ પહેલાં આસારામની કારને રોંગ સાઇડથી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી લઈ જવાતાં આઠેક એમ્બ્યુલન્સના દર્દીઓએ વીસેક મિનિટ રાહ જોવી પડી હતી. આસારામના ખાનગી બોડીગાર્ડ્સે ટ્રોમા સેન્ટરના દરવાજા અન્ય દર્દીઓ માટે બે કલાક બંધ કરી દીધા હતા. જ્યારે ઓપીડી પણ અઢી કલાક માટે બંધ રહી હતી. એટલું જ નહિ, સાધકોએ પણ મીડિયાકર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. સુરતની મહિલાએ આસારામ સામે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદસુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 'જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી'પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ આસારામના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમની અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતાં ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આસારામે 'જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી' કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી. આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદસુરતની બે બહેનોએ નારાયણ સાઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામનો પરિવાર અને વિવાદઆસારામ અને તેના પરિવારનાં 'કાળાં કરતૂતો' 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. યુવતીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. બે બહેનોએ પિતા-પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતોસગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદે કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં પોતાનું બાઈક પરત માંગતા નાના ભાઈએ તેના મોટા ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. નાનો ભાઈ મોટા ભાઈના ઘરેથી બાઈક કામ હોવાથી લઈ ગયો હતો. જેથી મોટા ભાઈને બહાર જવાનું હોવાથી તે નાના ભાઈના ઘરે પોતાનું બાઈક લેવા માટે ગયો હતો જ્યાં મામલો બીચક્યો હતો. મોટા ભાઈ બાઈક ઉપર બેસતાની સાથેજ નાના ભાઈએ તેના પીઠ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો. ત્રણેય ભાઈઓ તેમના પરિવાર સાથે અલગ અલગ રહે છેકુબેરનગર વિસ્તારમાં આવેલા નહેરૂનગર ખાતે રહેતા વિકાસ બાવરીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેના ભાઈ આકાશ બાવરી વિરૂદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ કરી છે. વિકાસ પત્ની મનિષા તેમજ બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે. વિકાસને ત્રણ ભાઈઓ છે જેમાં એકનું નામ આકાશ, બીજાનું નામ સુનીલ અને ત્રીજાનું નામ રોહિત છે. ત્રણેય ભાઈઓ તેમના પરિવાર સાથે અલગ અલગ રહે છે. નીષાએ ચાવી આપતા આકાશ બાઈક લઈને નીકળી ગયો હતોગઈકાલે વિકાસ તેના ઘરે આવ્યો હતો તે દરમિયાન આકાશ આવ્યો હતો અને મનિષા પાસે બાઈકની ચાવી માંગી હતી. મનીષાએ ચાવી આપતા આકાશ બાઈક લઈને બહાર નીકળી ગયો હતો. રાતે નવ વાગ્યા આસપાસ વિકાસને બહાર જવાનું હોવાથી તે આકાશના ઘર પાસે ગયો હતો.આકાશ ત્યાં વિકાસનું બાઈક લઈને ઉભો હતો અને મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો. વિકાસે આકાશ પાસે બાઈકની ચાવી માંગતા મામલો બીચક્યો હતો. આકાશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. આકાશે પોતાની પાસે રહેલી છરી કાઢી પીઠમાં ભોંકી દીધી વિકાસ ત્યાંથી બાઈક લઈને જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે આકાશે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને તેના પીઠમાં ઘા ઝીંકી દીધી હતી. આકાશે પાછળથી અચાનક હુમલો કરતા વિકાસ ગભરાઈ ગયો હતો અને બુમાબુમ કરવા લાગ્યો હતો. વિકાસને લોહી નીકળતા તે જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે આકાશ ત્યાંથી નાસી ગયો હતો. વિકાસને તરફડીયા મારતા જોઈને તેના કૌટુંબીક ભાઈઓ દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકાસની ફરિયાદના આધારે મોડી રાતે આકાશ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એક તરફ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ, માફિયાઓ અને દલાલો દ્વારા શોષણ થઈ રહ્યું છે, તો બીજી તરફ માવઠાએ ખેતરો ધોઈ નાખતા ખેડૂતોની હાલત ‘દાઝ્યા પર ડામ’ જેવી થઈ છે. આ સાથે જ તેમણે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પર પણ પ્રહાર કરતાં જણાવ્યું કે, ખેડૂત હિતની વાતથી કોંગ્રેસને પેટમાં દુખે છે અને તે AAPને ગાળો દેવાનું કામ કરી રહી છે, ત્યારે કોંગ્રેસે લાજવાને બદલે ગાજવાનું બંધ કરીને 30 વર્ષના શાસનમાં ખેડૂતો માટે કંઈ ન કર્યું હોવાથી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.ગુજરાતમાં દિવસેને દિવસે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે, જેની પાછળ મુખ્યત્વે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતા જવાબદાર છે. રેશ્મા પટેલે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો કે ભાજપ સરકારની અનિતિઓ અને તેના માફિયાઓ, ગુંડાઓ તથા દલાલો APMC જેવી ખેડૂતોની સંસ્થાઓમાં ગોઠવાઈને ડગલે ને પગલે શોષણ કરી રહ્યા છે. પછી તે કડદા પ્રથા હોય, ભાવમાં થતા ફેરફારો હોય કે અન્ય કોઈ નીતિ-નિયમો હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોનું ભરપૂર શોષણ કરવામાં આવી રહ્યું છે.આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી સત્તાધારી પક્ષની અન્યાયી નીતિઓનો જોરદાર વિરોધ કરી રહી છે. એક તરફ ભાજપની અનિતિઓ ખેડૂતોને પાયમાલ કરી રહી છે, ત્યારે બીજી તરફ કુદરતનો કહેર આવ્યો છે. મોસમી કે કમોસમી વરસાદ જેવી માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા છે અને પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. ખેતરો ધોવાઈ જવા અને પાક ધોવાણ થવાથી ખેડૂતની હાલત વધુ ગંભીર બની છે. આ દરેક કપરી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી રોડ પર આવીને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવી રહી છે. AAP દ્વારા ઉપવાસ અને આંદોલનો કરીને સત્તા પક્ષનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેશ્મા પટેલે ભાજપ સરકાર પાસે તાત્કાલિક ધોરણે મુખ્ય બે માંગણીઓ કરી છે:તેમણે સરકારના પ્રતિનિધિઓ પર ફોટો સેશનનો આક્ષેપ મૂકતા જણાવ્યું કે સરકારના પ્રતિનિધિઓ બૂટ પહેરીને ખેતરોમાં જઈ જે ફોટો સેશનના નાટકો કરે છે, તે બંધ થવા જોઈએ. સરકારે ખેડૂતોને વહેલી તકે સહાય મળે તેવી કામગીરી કરવી જોઈએ, કારણ કે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.જ્યારે આમ આદમી પાર્ટી ખેડૂતો કે જનતાના હિત માટે માગણી કરે છે, ત્યારે સત્તાધારી ભાજપ સરકાર માત્ર તાનાશાહી વરતાવે છે અને AAPને ડરાવવા પોલીસને આગળ ધરે છે. પરંતુ આનાથી પણ વધારે લજ્જાની વાત તો એ છે કે 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેઠેલી કોંગ્રેસ જાહેરમાં આમ આદમી પાર્ટીને ગાળો આપવાનું કામ કરે છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. રેશ્મા પટેલે કહ્યું કે કોંગ્રેસ 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેસીને ખેડૂત માટે કંઈ કર્યું નથી, માત્ર ભાજપ સાથે ભાગીદારી કરીને પોતાના ખીસા ભર્યા છે. અને અત્યારે જ્યારે AAP ખેડૂત હિતની વાત કરે છે, ત્યારે અમારો વિરોધ કરવામાં પણ કોંગ્રેસ ભાજપની ભાગીદારી કરી રહી છે. કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસનું સાચું ચિત્ર હવે ગુજરાતની જનતાએ જોઈ લીધું છે, જે પાર્ટીને સંવૈધાનિક રીતે વિરોધ પક્ષમાં બેસાડવામાં આવી છે, તે પોતાનું કામ છોડીને આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં વ્યસ્ત છે.જોકે, રેશ્મા પટેલે સ્પષ્ટ કર્યું કે, ભાજપ અને કોંગ્રેસના વિરોધથી આમ આદમી પાર્ટી ડરવાની નથી.ગુજરાતની જનતાનો પ્રેમ, લોક લાડ અને સમર્થન અમારી હિંમત છે અને અમે લડીને બતાવીશું. અંતમાં, તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને ટકોર કરી કે કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે પોતાનું કામ કરવું જોઈએ અને ભાજપે સત્તા પક્ષ તરીકે પોતાનું કામ કરવું જોઈએ. આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન અને વિરોધ કરીને ખેડૂત હિતની વાત મંજૂર કરાવીને જ રહેશે.
રાજકોટનાં જામનગર રોડ ઉપર સાંઢિયા પુલનાં સ્થળે નવો ફોરલેન બ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાંઢીયો પુલ જર્જરિત થતા રેલવે સાથે વાત કરી મંજૂરી મેળવ્યા બાદ જુના પુલને ડિસમેન્ટલ કરીને નવો ફોરલેન બ્રીજ રૂ. 62.5 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ 120 ગડર પૈકી 84 ગડર મુકવામાં આવી ચુક્યા છે. અને હાલ સ્લેબ ભરવા સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જાન્યુઆરીનાં અંત સુધીમાં આ કામ પૂર્ણ કરવાનો દાવો સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કર્યો છે. આ ફોરલેન બ્રીજ બનતા જામનગર રોડના વિવિધ વિસ્તારોમાં રહેતા લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર સાંઢીયા પુલની કામગીરી અવિરતપણે ચાલી રહી છે. જેમાં પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન અને પાઈપ લાઈન નાખવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે, જેથી પાણી ભરાવાના પ્રશ્નો ઉભા ન થાય. અગાઉ પિલર ભરવા માટે 2.50 મીટરનું ફાઉન્ડેશન ખોદવામાં આવ્યું હતું, જે વરસાદમાં પણ સુરક્ષિત રહે તેની ખાતરી કરી લેવામાં આવી છે. હાલ આ પ્રોજેકટનું 70 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ બ્રીજ માર્ચ 2026 સુધીમાં પૂરો કરવાનો હતો. જેને બદલે ઝડપી કામગીરી ચાલી રહી હોવાથી જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરી અને ફેબ્રુઆરીમાં લોકો માટે આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટનાં જામનગર રોડ પર આવેલી 50 કરતા વધુ સોસાયટીઓમાં રહેતા લાખો વાહન ચાલકોને તેનો લાભ મળશે. પુલની ટેકનિકલ વિગતોનવો સાંઢિયા ફોર લેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઈન અને ટેકનોલોજીથી બનશે. તેની ઊંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર (ફોર લેન) હશે, જે ભવિષ્યની વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈ બનાવવામાં આવી રહ્યો છે. માધાપર ચોકડી તરફ તેની લંબાઈ 298 મીટર અને હોસ્પિટલ ચોક તરફ પણ 298 મીટર હશે. રેલવે ટ્રેક ઉપરનો સ્પાન 36 મીટરનો રહેશે, જે રેલવેના માર્ગદર્શન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોર લેન બ્રિજ બનવાથી રાજકોટના લાખો વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ પુલ રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડશે. પ્રોજેક્ટ સમયરેખા અને વર્તમાન સ્થિતિ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખાસ મુશ્કેલી પડતી નથી. સાંઢિયા પુલની 2 સ્લેબ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 120 પૈકી 84 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. આ ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા 40 વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને રૂ. 62.5 કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો પડકાર રેલવે ટ્રેક પરના ભાગને તોડવાનો હતો. કારણ કે આ કામગીરી દરમિયાન રેલવે વ્યવહારને નુકસાન ન થાય અને સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી હતું. મનપા દ્વારા ત્રણ મહિનાની સઘન મથામણ અને વિવિધ ટેકનિકલ પ્રસ્તાવો રજૂ કર્યા બાદ અંતે રેલવેની મંજૂરી મળી હતી. અને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે 'ડાયમંડ કટિંગ ટેકનોલોજી'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. મહિલા ગ્રાહક બનીને આવી તે બાદ અચાનક તેણે તેના હાથમાં રહેલા મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો. જોકે આ મરચા પાવડર સોનીના આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને તેણે ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ 17 લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાની ઇન્કાર કર્યો છે પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે. મહિલાએ મરચાનો પાવડર સોનીની આંખમાં નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યોરાણીપ શાકમાર્કેટ પાસે સોના-ચાંદીની દુકાનમાં બપોરના સમયે સોની બેઠા હતા. ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. આ મહિલા દુકાનમાં આવતા જ તેણે પોતાની પાસેના મરચાનો પાવડર સોનીની આંખમાં નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોનીએ મહિલાને એક બાદ એક 17 લાફા ઝીંક્યાજોકે આ પાવડર સોનીની આંખમાં ગયો નહોતો. બાદમાં સોનીને મહિલાના ઇરાદાની જાણ થતા તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈને મહિલાને એક બાદ એક 17 લાફા મારી દીધા હતા. સોની ટેબલ કૂદી મહિલા પાસે આવ્યો ને મહિલાને ખેંચીને દુકાનની બહાર કાઢીસોની ટેબલ કૂદીને મહિલા પાસે આવ્યો અને મહિલાને ખેંચીને દુકાનની બહાર પણ કાઢી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ છે. પોલીસે CCTVના આધારે મહિલાની તપાસ શરૂ કરીરાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે સોની આ અંગે ફરિયાદ કરવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ પોલીસે CCTVના આધારે મહિલાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઠગ દંપતી સિદ્ધાર્થ રાવલ અને પાયલ રાવલની ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બંનેએ ભેગા મળીને હાર્ડવેરનો વેપાર કરતાં વેપારીને 18 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. વેપારીના ત્યાંથી માલ ખરીદીને નિયમિત પેમેન્ટ આપ્યું હતું. વેપારીને વિશ્વાસમાં લઈને રોકાણ પર 6 ટકા દર મહિને વળતર આપવાની લાલચ આપી હતી. વેપારીએ 18 લાખ રૂપિયાનું રોકાણ કરતા દંપતી પૈસા લઈને ફરાર થઈ ગયા છે. આનંદ નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રોકાણ કરશો તો સારો નફો મળશે કહી વિશ્વાસમાં લીધાશેલામાં રહેતા ચિરાગ બદાણી પ્લાયવુડ અને હાર્ડવેરનો વેપાર કરે છે.ચિરાગભાઈનો સંપર્ક તેમના ફુવા દ્વારા સિદ્ધાર્થ રાવલ અને તેની પત્ની પાયલ રાવલ સાથે થયો હતો. સિદ્ધાર્થ અને પાયલ સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ અને સિલિકોન રિયલ એસ્ટેટના નામથી વેપાર કરતા હતા. વર્ષ 2022માં સિદ્ધાર્થનું મકાન રિનોવેશન કરાવવાનું હોવાથી તેમણે ચિરાગભાઈના ઓફિસથી સામાન લીધો હતો. જેના પૈસા સમયસર ચૂકવી દીધા હતા. સમયસર પૈસા મળતા ચિરાગભાઈને વિશ્વાસ આવ્યો અને બંને વચ્ચેનો સંબંધ સારો થયો હતો. આ દરમિયાન સિદ્ધાર્થે અને તેની પત્નીએ ચિરાગભાઈને કહ્યું હતું કે, સિલિકોન હેલ્થ મેનેજમેન્ટ અને સિલિકોન રિયલ એસ્ટેટમાં રોકાણ કરશો સારો નફો મળશે. તમારા રોકાણ પર દર મહિને 6% લેખે વળતર આપીશું. રોકાણ પર વળતર પણ મળતું નહોતું કે પૈસા પણ મળતા ન હતાચિરાગભાઈને વિશ્વાસ આવતા તેમણે ઠગ દંપતિની કંપનીમાં 9 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં શરૂઆતના પાંચ મહિના નિયમિત વળતર મળતું હતું. જેથી વિશ્વાસ આવતા વધુ 9 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કુલ 18 લાખનું રોકાણ કર્યું, પરંતુ આ રોકાણ પર કોઈ પણ વળતર મળતું નહોતું કે પૈસા પણ પરત મળતા ન હતા. પતિ-પત્ની પૈસા પરત આપવા માટે વાયદાઓ કરી રહ્યા હતા. ચિરાગભાઈ જ્યારે સિદ્ધાર્થના ઘરે ગયા ત્યારે મકાન વેચી દીધું હોવાની પણ જાણ થઈ હતી. સિદ્ધાર્થ અને પાયલ વિરુદ્ધમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ થઈ હોવાની ચિરાગભાઈને જાણ થઈ હતી. જેથી તેમણે આનંદનગરમાં બંને વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે, કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ – આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂતલક્ષી રાજનીતિના મેદાનમાં ઉતરી છે. અમિત ચાવડાની આગેવાનીમાં 11 જિલ્લાનો પ્રવાસઆ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે. યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ 11 મુખ્ય જિલ્લા — જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર — નો પ્રવાસ કરશે અને અંતે દ્વારકામાં તેનું સમાપન થશે.
અમદાવાદના દરિયાપુરના વૃદ્ધને હજયાત્રાએ જવાનું હોવાની પોતાના પરિચિત વ્યક્તિ પાસેથી ટ્રાવેલ્સ માલિક સાથે સંપર્ક કર્યો હતો. જે બાદ હજયાત્રા જવા માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. હજ જવાની તારીખ નક્કી કરી, પરંતુ નક્કી કરેલી તારીખે હજ ન લઈ જઈને ટ્રાવેલ્સ માલિક વાયદાઓ કરતો રહ્યો. જ્યારે વૃદ્ધે પૈસા પરત માંગ્યા તો તે પણ આપ્યા નહોતા. આ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ઓળખીતા પાસેથી આરોપીનો નંબર લીધો હતોદરિયાપુરમાં રહેતા મંજૂરહુસેન ગેરેજનું કામ કરીને ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ અગાઉ તેમના ફ્લેટમાં રહેતા તેમના મિત્ર હજ યાત્રાએ જઈને આવ્યા હોવાથી તેમની ઓળખાણથી તેમનો સંપર્ક અલ મૂરતુઝા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મોહમ્મદ રફીક કુરેશી સાથે થયો હતો. રફીકના દીકરા ફૈઝલ અને ફુરકાનને પણ તેઓ મળ્યા હતા. મંજુર હુસેનને તેમના પત્ની સાથે હજયાત્રાએ જવાનું હોવાથી તેમણે રફીકને વાત કરી હતી. રફીકે પ્રથમ ટોકન પેટે 50 હજાર રૂપિયા અને બાકીના 10.50 લાખ થોડા દિવસ પછી આપવાનું જણાવ્યું હતું. હજયાત્રાના માટે 11 લાખ પડાવી લીધાવાત થયા મુજબ મંજુરહુસેને પહેલા 50 હજાર રૂપિયા આપ્યા હતા અને થોડા સમય બાદ રફીકે 10.50 લાખ રૂપિયા માંગતા મંજૂરહુસેને રફીકને તેમના મિત્ર સાદિક શેખના ત્યાં બોલાવ્યા હતા અને સાદિકની હાજરીમાં 10.50 લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ પૈસા લઈ ગયા બાદ સમજુતી કરાર પણ કરાવ્યો હતો. 11 લાખ રૂપિયા રોકડા લીધાની રફીકે પહોંચ પણ આપી હતી. 11 લાખ મળ્યા બાદ 18 માર્ચના રોજ રફીકે મંજૂર હુસૈનને ફોન કરીને 25 માર્ચના રોજ હજ જવાની ટિકિટ આવી ગઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સંજોગોથી ટૂર કેન્સલ થઈ હતી. પૈસા પરત ન કરતા પોલીસ ફરિયાદ23 એપ્રિલે રફીકે 30 જૂનના રોજ હજયાત્રાનું બુકિંગ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જો કે 30 એપ્રિલે રફીક હજયાત્રા નહોતો લઈ ગયો અને પૈસા પણ પરત નહોતા આપ્યા. હજ ન લઈ જતા મંજુરહુસેને 11લાખ પરત માંગવાનું શરૂ કર્યું, ત્યારે રફીક ખોટા વાયદાઓ આપતો હતો અને સમય પસાર કરતો હતો. આમ રફીકે તેના બંને દીકરાઓ સાથે મળીને મંજૂર હુસેન સાથે 11 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે દરિયાપુર પોલીસે રફીક અને તેના દીકરા ફૈઝલ તથા ફુરકાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેરના રાતાવિરડામાંથી 120 બોટલ દારૂ જપ્ત:એક આરોપીની ધરપકડ, 1.61 લાખનો મુદ્દામાલ કબજે
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. 1.56 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સુરેશભાઈ લખમણભાઇ જમોડ નામના એક આરોપીની ધરપકડ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાતાવિરડા ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનની ઓરડીમાં રેડ કરવામાં આવી હતી. આરોપી સુરેશભાઈ જમોડ હાલ રાતાવિરડા ગામની સીમમાં ડિકોર સીરામીકની સામે મનસુખભાઈની ઓરડીમાં રહે છે અને મૂળ સેજકપર, તાલુકો સાયલાના વતની છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન સુરેશભાઈએ દારૂનો આ જથ્થો રાજુભાઈ ધનજીભાઈ બારૈયા (રહે. ગરંભડી, તા. સાયલા) પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે સુરેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજુભાઈ બારૈયા સહિત આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
બ્રહ્માકુમારીઝે 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' અભિયાન શરૂ કર્યું:વિશ્વ શાંતિ માટે ફોર્મ ભરાવી સહયોગ મેળવાશે
દેવદિવાળીના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' અપીલ પ્રોજેક્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત હિંમતનગરના કાંકરોલ ખાતે આવેલા નરસિંહ બાપાના આશ્રમમાં હિંમતનગર સબઝોન સેન્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે 16,75,000 મિનિટના શાંતિદાનના ફોર્મ ભરી અનુયાયીઓએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અને સંકલન બી.કે. નરેશભાઈ પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આશ્રમના સંચાલક કિરીટભાઈ નરસિંહભાઈ પટેલના સહકાર અને નરસિંહ બાપાના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. બ્રહ્માકુમારીઝ હિંમતનગર સબઝોન ઇન્ચાર્જ બી.કે. જ્યોતિદીદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શાંતિદાનના ફોર્મ ભરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગર શહેરના નામાંકિત ડોકટરો, વેપારી હસમુખભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને બ્રહ્માકુમારીઝના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો શુભારંભ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાદુ, નિવાસી અધિક કલેક્ટર, મામલતદાર તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓના ફોર્મ ભરાવીને કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ આ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાબરડેરી હિંમતનગર અને આજુબાજુના ઔદ્યોગિક એકમો જેવા કે યશ પેકેજિંગ, યશ મેડિકેર અને ફાઈવ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ શાંતિદાન કાર્યક્રમમાં ૧૦૦ કરોડ મિનિટ એકત્ર કરવાના ફોર્મ ભરાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોહિબિશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:પેરોલ ફર્લોની ટીમે આરોપીને ઝડપી મોઢેરા પોલીસને સોંપ્યો
મહેસાણા પેરોલ ફર્લોની ટીમને બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરત ખાતે છે. આ બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમે આરોપીને બાતમી વાળી જગ્યાએથી ઝડપી વધુ તપાસ માટે મોઢેરા પોલીસને સોંપ્યો હતો. મોઢેરા પોલીસે વધુ તપાસ શરૂ કરીપ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા પેરોલ ફર્લોની ટીમ સુરત ખાતે તપાસમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરતના શ્યામ વૃંદાવનમાં હાજર છે. ઉક્ત બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમે બાતમી વાળી જગ્યાને કોર્ડન કરી આરોપી દિવ્યેશ રમણીકભાઈ લાડાણી રહે. સુરત, મૂળ રહે. જામજોધપુરના વસાજાડીયા વાળાને ઝડપી લીધો હતો. આરોપીને ઝડપી મોઢેરા પોલીસને સોંપી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.
દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રનો પ્રારંભ:144 દિવસના બીજા સત્રમાં પરીક્ષાઓનો ધમધમાટ રહેશે
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ સત્ર દરમિયાન દિવાળી પહેલા લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર થશે, જ્યારે ફેબ્રુઆરી 2026માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. શૈક્ષણિક વર્ષ કુલ 249 દિવસનું હોય છે. જેમાં પ્રથમ 105 દિવસનું સત્ર પૂર્ણ થઈ ગયું છે. હવે શરૂ થયેલું 144 દિવસનું બીજું સત્ર શિક્ષણકાર્ય માટે મહત્વપૂર્ણ રહેશે. પ્રથમ સત્રમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આ બીજા સત્રમાં જાહેર કરાશે. જાન્યુઆરી 2026માં બીજી પરીક્ષા લેવાશે. ફેબ્રુઆરી 2026માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે, જ્યારે એપ્રિલ માસમાં ધોરણ 1 થી 8, 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે. આ 144 દિવસનું બીજું સત્ર મુખ્યત્વે પરીક્ષાઓ પર કેન્દ્રિત રહેશે. આનાથી વિદ્યાર્થીઓને તેમની તૈયારીઓ માટે પૂરતો સમય મળશે.
હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત:દહેગામના રખિયાલ રોડ પર અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર, તપાસ શરૂ
દહેગામના બદપુરાથી રખિયાલ રોડ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બદપુરા ગામના ખેડૂતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ખેડૂત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, એ દરિમયાન અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારી નાસી ગયો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ થતાં ભત્રિજો સ્થળે દોડી ગયોદહેગામના બદપુરા વડવાળા વાસમાં રહેતો વિપુલ બબાજી ઠાકોર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જેના કાકા વિરૂસંગ બબાજી ઠાકોર તેના ઘરની બાજુમાં પરિવાર સાથે રહે છે. ગઈકાલે વિપુલ ઘરે હાજર હતો, એ વખતે ગામના કિશન ઠાકોરે ફોન કરીને જાણ કરેલી કે, તારા કાકા વિરૂસંગભાઈને સાંજના અકસ્માત થયો છે. આ અકસ્માતની વાત સાંભળીને વિપુલ તેમજ તેના કુટુંબી કાકાનો દીકરો રખીયાલથી બદપુર નાની ગંડેરી રોડ પર દોડી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીસ્થળે જતાં માલૂમ પડ્યું હતું કે, વીરસિંગભાઈ રખીયાલથી પોતાના ઘરે ચાલતા-ચાલતા જતા હતા, તે વખતે કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન પૂરઝડપે ચલાવી પાછળથી ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર તથા શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ છે. આ અકસ્માતના પગલે અન્ય ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવારમાં ખસેડાતા ફરજ પરના તબીબે ચેક કરીને વીરસિંગભાઈને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન ઘરના અન્ય પરિજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે રખિયાલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં જુગારધામ પર SMCનો દરોડો, 16 ઝડપાયા:₹2.65 લાખના મુદ્દામાલ સાથે 24 સામે ગુનો નોંધાયો
ગોધરાના મીનાક્ષી બંગ્લોઝ પાછળ, ડોળપા તળાવ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર દ્વારા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ₹2,65,200/- ના મુદ્દામાલ સાથે 16 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે થયેલી આ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ભરતદાન વજેસંગ ટાપરિયાની ટીમે કરી હતી. દરોડા દરમિયાન કુલ 24 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 8 આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ગોધરા, આણંદ, વડોદરા અને ખેડા જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તેમના નામ થાવરદાસ ડુંગરમલ કમનાની (સિંધી), વાશુદેવ જેઠાનંદ ક્રિષ્નાણી, દિલીપભાઈ તેજુમલ સાધવાણી, મુકેશભાઈ જનકલાલ ખીમનાણી, રાહુલ નરેશભાઈ કરમચંદાણી, સુનીલભાઈ સનાભાઈ વસાવા, જગદીશભાઈ ચતુરભાઈ ચૌહાણ, સંજયકુમાર કનુભાઈ વાણંદ, નગીનકુમાર રાવતાજી ડાંગી, ઉદયભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, હસમુખભાઈ બાબુભાઈ માળી, આરીફ ગનીભાઈ શેખ, નીરવકુમાર કનુભાઈ પારેખ, તુષાર પ્રકાશકુમાર ટેલીયાણી, મુકેશકુમાર ઈશ્વરલાલ મુલચંદાણી અને ભાવેશકુમાર રજનીકાંત સુથાર છે. ફરાર થયેલા આરોપીઓમાં જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ ઉર્ફે ડભધર લાલવાણી, લખન પંજાબી, લખન કલવાણી ઉર્ફે લખન ગાંડો, રાહુલ દંતાણી (સોલંકી), રાજેશ દંતાણી (સોલંકી) અને ત્રણ અજાણ્યા વાહન માલિકો (GJ-17-CH-1570, GJ-17-CB-7380, GJ-17-BC-7277)નો સમાવેશ થાય છે. આરોપીઓ જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે 'અંદર બહાર' અને 'તીન પત્તી'નો રોકડ રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹81,700/- રોકડા, ₹61,500/- કિંમતના 15 મોબાઈલ ફોન, ₹1,20,000/- કિંમતના 6 ટુ-વ્હીલર, 10 જોડી ગંજીપાના, ₹2,000/- કિંમતની 2 પ્લાસ્ટિકની તાલપત્રી, કપડાની ચટાઈ અને સ્ટીલની પેટી જપ્ત કરી હતી. આમ, કુલ ₹2,65,200/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ અંગે ગોધરા પોલીસ સ્ટેશનમાં 6 નવેમ્બર 2025ના રોજ સવારે 3:10 વાગ્યે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. જેઓ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત કરીને લોકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો જાણશે. આજે વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી ભુજ સર્કિટ હાઉસ ખાતે પહોંચતા બાળાઓએ ફૂલોથી તો પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરશેનાયબ મુખ્યમંત્રી આજે સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે લખપત તાલુકાના ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે. નાયબ મુખ્ય મંત્રીના આજના કાર્યક્રમનું ટાઇમ ટેબલ
જામનગર શહેરમાં આજે સવારે ઝાકળભીની સવાર જોવા મળી હતી, જેમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડક સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ઉનાળા જેવો આકરો તાપ અનુભવાઈ રહ્યો છે, પરંતુ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે ઝાકળ વર્ષા અને ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ આહલાદક બન્યું હતું. લોકોએ સવારના આ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો હતો. એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ શિયાળાના આગમનની અનુભૂતિ થઈ રહી છે. સવારે ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ઝાકળની ચાદર છવાઈ હતી, જે વાતાવરણમાં પલટાનો સંકેત આપે છે. બપોરના સમયે આકરા તાપનો અનુભવ થાય છે, જ્યાં ગરમીનો પારો 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે, જેના કારણે ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગરના તાપમાનની વિગતો જોઇએ તો લઘુત્તમ તાપમાન: 20.0C, મહત્તમ તાપમાન: 32.0C, ભેજનું પ્રમાણ: 89% અને પવનની ગતિ: 3.4 કિલોમીટર પ્રતિ કલાક છે.
ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. ટીમે નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આ આરોપી 2021થી ફરાર હતો. ભરૂચ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરી અને એ.એચ. છૈયાની ટીમને ચોક્કસ માહિતી મળી હતી. માહિતી મુજબ, નબીપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી લક્ષ્મણ ભરતભાઈ પરમાર (રહે. મણિનગર, મોકસી ગામ, તા. સાવલી, જી. વડોદરા) હાલ વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ માહિતીના આધારે, એસ.ઓ.જી.ની ટીમે વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ગધેડા શાકમાર્કેટ પાસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો હતો. ટીમે આરોપીના નામ-ઠામની ખાતરી કર્યા બાદ કાયદેસર રીતે તેની ધરપકડ કરી ભરૂચ લાવવામાં આવ્યો હતો. આરોપી સામે બી.એન.એસ.એસ. કલમ 35(1)(જે) મુજબ અટકાયત કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ માટે આરોપીને નબીપુર પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવ્યો છે.
અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કુતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કુતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી, ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને કુતરાએ મહિલાના હાથમાંથી છટકી બાળકની પાછળ દોટ મુકી હતી. એક બાળક નીચે પડી જતાં કુતરાએ કરડી દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, હાથીજણ વિસ્તારમાં 6 મહિના પહેલા ચાર મહિનાની બાળકી પર રોટવીલર નામના પાલતુ કુતરાએ હુમલો કરતા બાળકીનું મૃત્યુ થયું હતું. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીઓ....
દયાપર સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ઉજવણી:મોટી સંખ્યામાં સત્સંગીઓ અને ગ્રામજનો જોડાયા
લખપત તાલુકાના દયાપર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં સત્સંગી સમાજ અને ગ્રામજનો જોડાયા હતા. દયાપર સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આયોજિત આ તુલસી વિવાહ અંતર્ગત, વહેલી સવારે ગણેશ સ્થાપન અને મંડપ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી સાંજે વાજતે-ગાજતે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહનો ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાલજી મહારાજના યજમાન પદે મયુર લાભશંકરભાઈ ગોર પરિવારે અને તુલસી માતાના યજમાન તરીકે જિનેશ મોહનલાલ સોની પરિવારે લગ્નની ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. આ લગ્ન ઉત્સવના કાર્યક્રમમાં દયાપર સ્વામિનારાયણ સત્સંગ સમાજના પ્રમુખ હસમુખભાઈ દેવજી પોકાર, ધનજીભાઈ ઠાકરાણી, બાબુલાલ ચૌહાણ, અરવિંદ ઘોઘારી, આશિષ સાંખલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્વામિનારાયણ મંદિર (બહેનો)ના સાંખ્ય યોગી શાંતાફઈ, સાંખ્યયોગી હંસાફઈ, નરનારાયણ યુવક અને યુવતી મંડળના સભ્યો તેમજ અન્ય ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સિધ્ધપુરમાં હાલમાં ચાલી રહેલા કારતકી પૂનમના કાત્યોક મેળામાં વહેલી પરોઢે સાડા ચારેક વાગ્યાનાં સુમારે અત્રેનાં પશુમેળામાંથી લીધેલા મનાતા કે અન્ય રીતે મેળવેલા રૂા. 75 હજારની કિંમતનાં પાંચ મોટા અને પાંચ નાના ઊંટને એક આયસર ટ્રકમાં ખીચોખીચ ભરીને તેમને ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધીને તેમની ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહિં રાખીને ભરવામાં આવેલા હતા. તેઓને જીવદયા પ્રેમીઓએ છોડાવીને તેમને ટ્રકમાંથી નીચે ઉતારીને નજીકની કામધેનું ગૌશાળામાં મોકલવામાં આવ્યા હતાં. સિધ્ધપુરનાં કલોલવાળા ફાર્મ, મહાવીર ભંગારની બાજુમાં, નરેન્દ્રસિંહ ઉદેસિંહ ઠાકોર (ઉ.વ. હરિશંકરનાં પાસે ૩૦) તથા તેમનાં મિત્ર પૃથ્વીભાઇ લસ્સુભાઇ પરમાર રે. શંકરપુરા, સિધ્ધપુર અત્રે સરસ્વીત નદીનાં પટ્ટમાં ચાલતા કાર્તિકી પૂનમ મેળામાં આજે મધરાત્રે ફરવા માટે ગયા હતા ત્યારે સવારે સાડા ચારેક વાગ્યાનાં સુમારે બંને જણા ઘેર જતા હતા ત્યારે રસ્તામાં સરસ્વતિ નદીમાં રેલ્વે બ્રીજ નીચે પૂર્વ તરફની કિનારીએ એક આયસર ટ્રક ઉભેલી હતી. ટ્રકનો પાછળનો દરવાજો ખુલ્લો હતો ને પાછળનાં ભાગે બે શખ્સો શંકાસ્પદ રીતે કંઈક કરતા જણાતાં બંને જણાએ નજીક જઇને જોતાં ટ્રકનાં આગળ નંબર પ્લેટ નહોતી, પાછળ પ્લેટ હતી. ટ્રક પાસે ઉભેલા બે પૈકી એક વ્યક્તિ નાસી ગયો હતો ને બીજા શખ્સને પૂછતાં તેણે પોતાનું નામ અલીમખાન નુરમહંમદ મેઉ રે. રીઠલ, હિંમતપટ્ટી, તા. નગીના, જિ. નૂહુ, હરિયાણા હોવાનું અને તે ટ્રકનો ડ્રાયવર હોવાનું જણાવ્યું હતું ને નાસી ગયેલા વ્યક્તિનું નામ સોકિન હોવાનું તેણે જણાવ્યું હતું. ટ્રકમાં તપાસ કરતાં અંદર ખિચોખિચ ભરેલા પાંચ મોટા અને પાંચ નાના ઊંટ ભરેલા હતાં. ઊંટો સતત અવાજ કરતાં હોવાથી ને તેમને ગાડીમાં રખાય તો મોતને ભેટે તેમ હોવાથી તેમને નીચે ઉતરાવીને 112 ને ફોન કરતાં ઊંટોને ગૌશાળા મોકલાયા હતાં. પાંચ ઊંટોની કિંમત રૂા. 50હજાર અને નાના પાંચની કિંમત રૂ. 25હજાર મળી કુલે રૂા. 75 હજારની હતી. આ બનાવ અંગે પોલીસે નરેન્દ્રસિંહની ફરીયાદનાં આધારે ટ્રક ચાલક અલીમખાન અને નાસી ગયેલા સોકીન સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ પીએસઆઈ બી.એસ. રહેવરે હાથ ધરી હતી.
નવસારી શહેરમાં સિઝનનું પ્રથમ વખત ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે સહિતના માર્ગો પર વિઝિબિલિટી (દૃશ્યતા) ઘણી ઓછી થઈ ગઈ હતી. વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓછી દૃશ્યતાને કારણે વાહનચાલકોને પોતાની કારની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હાંકવાની ફરજ પડી હતી, જેથી અકસ્માત ટાળી શકાય. અત્યાર સુધી નવસારીમાં બેવડી ઋતુનો અનુભવ થતો હતો, જેમાં રાત્રે અને સવારે ઠંડક જ્યારે દિવસે બફારો અને ગરમીનો અનુભવ થતો હતો. જોકે, આ ધુમ્મસના કારણે હવે શિયાળાની ઋતુની વિધિવત શરૂઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી હવે ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેશે. સાથે-સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ જોવા મળશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં હળવા વરસાદ થવાની સંભાવનારાજ્યમાં આગામી દિવસોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32 અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. જે વરસાદી સિસ્ટમ હતી તે હવે નિષ્ક્રિય થઈ ગઈ હોવાથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાંચે દિલ્હી પોલીસને મદદ કરીને હત્યાના ગુનામાં 16 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્ત્વની સફળતા મેળવી છે. આ આરોપી દિલ્હીના બિન્દાપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2009માં નોંધાયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો હતો. પોતાની ધરપકડ ટાળવા તે સતત અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી સુરતના પુણાગામ વિસ્તારમાં છુપાયેલો હતો. દિલ્હીમાં શેઠની હત્યા કરીને ફરારઆરોપી સામે દિલ્હીના બિન્દાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલો હતો. કેસની વિગત મુજબ, આરોપીએ દિલ્હીમાં શિવ મંદિરના વૃદ્ધાશ્રમ નજીક પોતાના શેઠને પૈસાની લેતીદેતી બાબતે માથાકૂટ થતાં હત્યા કરી નાખી હતી. આરોપીએ તેના મિત્ર બનારસી લાલ સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો અને ત્યારથી તે ફરાર હતો. છેલ્લા 16 વર્ષથી તે પોલીસની પકડમાંથી બચતો રહ્યો હતો. પુણાગામમાં મજૂરીકામ કરતો હતોદિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખૂનનો આ આરોપી હાલમાં સુરતના પુણાગામ વિસ્તારમાં ભૈયાનગર ખાતે રહે છે અને ત્યાં લેસ-પટ્ટીના ખાતામાં મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોની એક ટીમ સુરત આવી પહોંચી હતી અને તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોએ દિલ્હી પોલીસને મદદ કરીને બિન્દાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને તેના ભૈયાનગર, પુણાગામ ખાતેના રહેણાંક વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને પકડી પાડ્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો છે.
ગિરનાર જંગલમાં સિંહોની વધતી વસ્તીના કારણે જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે. ગઇકાલે(5 નવેમ્બર) મોડી રાત્રે રાધાનગર અને ગિરનાર દરવાજા વિસ્તારની ગલીઓમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સિંહણ ગૌવંશના ટોળાં પાછળ દોટ મૂકતી જોવા મળી હતી. શહેરી વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધ્યાતો બીજા વીડિયોમાં સિંહ ગિરનાર દરવાજા નજીક દિવાલ પર આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. 2025ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે,તો ગીરનાર જંગલમાં 54 જેટલા સિંહો નોંધાયા છે. ગિરનાર જંગલના સિંહોના આંટાફેરા શહેરી વિસ્તારમાં વધી ગયા છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સિંહણે એક વાછરડા પર હુમલો કર્યોજૂનાગઢ શહેરના રાધાનગર અને ગિરનાર દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે સિંહ/સિંહણના આંટાફેરાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ગિરનાર દરવાજા નજીક સિંહ એક દીવાલ પર આંટાફેરા મારતો નજરે પડ્યો હતો, જ્યારે રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે શિકારની શોધમાં આવેલી સિંહણે ગૌવંશના ટોળાં પાછળ દોટ મૂકી હતી. આ દરમિયાન સિંહણે એક વાછરડા પર હુમલો કરવાનો પ્રયાસ કરીને તેને ઈજા પણ પહોંચાડી હતી. ગલીઓમાં ફરતી સિંહણ ફરી જંગલ તરફ ચાલી ગઈજોકે ગૌવંશના ટોળાંએ વળતો પ્રહાર કરતા સિંહણના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો અને તે પરત ફરી હતી. બાદમાં ગલીઓમાં ફરતી સિંહણ ફરી જંગલ તરફ ચાલી ગઈ હતી. અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહોના આવી ચડવાના કારણે સ્થાનિકોમાં ગભરાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા 891 નોંધાઈઆ સમગ્ર વિસ્તાર ગિરનારના જંગલની નજીક આવેલો હોવાથી અહીં સિંહોનું આગમન નિયમિત બની ગયું છે. વન અધિકારીઓએ જણાવ્યું કે આ સિંહ/સિંહણ ગિરનાર જંગલના જૂથનો જ એક ભાગ છે, જે શિકારની શોધમાં શહેરના વિસ્તારોમાં આવી ચડે છે. સિંહોના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે 2025માં સિંહોની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા 891 નોંધાઈ છે, જે તેમની વસતીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સિંહોના વધેલા વસવાટથી સુરક્ષા-સહઅસ્તિત્વ જાળવવું એક મોટો પડકારસિંહોની સંખ્યા વધવા સાથે તેમનો વસવાટ વિસ્તાર પણ વિસ્તરી રહ્યો છે અને શિકારની સરળતા માટે તેઓ રેવન્યુ અને રહેણાંક વિસ્તારો તરફ પણ આવી રહ્યા છે. ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાં સિંહોના વધેલા વસવાટથી સુરક્ષા અને સહઅસ્તિત્વ જાળવવું એ વન વિભાગ અને સ્થાનિક તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
પાટણ શહેરમાં ઓમ કોમ્પ્લેક્સ સ્થિત વિપુલ જ્વેલર્સમાંથી 7 ઓક્ટોબરે થયેલી ₹48,000ની સોનાની વીંટીની ચોરીના કેસમાં પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. પાટણ એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઈક સાથે તેમને ઝડપી પાડ્યા હતા. દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ડીસાના હરસોલિયા વાસના કેદાર ચંદ્રકાન્ત ગણપતભાઈ ધૈરવ (રાજપૂત) (ઉ.વ. 33) અને તેમની પત્ની શિપ્રાબેન તરીકે થઈ છે. કેદાર મીશો કંપનીમાં કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો. હાલ તેઓ પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં કનાસાના પાડામાં ભાડે રહેતા હતા. પોલીસે તેમની પાસેથી પાટણની શિવ જ્વેલર્સમાંથી છ મહિના પહેલાં ચોરેલી 4.400 ગ્રામની ₹43,554ની સોનાની વીંટી, પાલનપુરની એ.વી.એમ. જ્વેલર્સમાંથી એક વર્ષ પહેલાં ચોરેલી 12.100 ગ્રામની ₹1,01,957ની સોનાની ચેઈન અને ₹50,000નું બાઈક જપ્ત કર્યું છે. પૂછપરછમાં તેમણે વિપુલ જ્વેલર્સમાંથી ₹48,000ની વીંટીની ચોરીની કબૂલાત કરી હતી. તેમની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ 2024માં દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. દંપતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પગારમાંથી ઘર સંસાર ચલાવવામાં આર્થિક તંગી અનુભવતા હતા અને મકાનનું ભાડું ચૂકવી શકતા ન હોવાથી ચોરીના રવાડે ચઢી ગયા હતા. આ દંપતી પાટણમાં દોશીવટ બજાર, આનંદ સરોવર પાછળ આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટી અને શ્રીરામ એપાર્ટમેન્ટમાં પણ ભાડે રહી ચૂક્યા છે. તેમણે કબૂલ્યું હતું કે વિપુલ જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા, પરંતુ ચોરેલી વીંટી ક્યાં પડી ગઈ તેની તેમને જાણ નથી. આ ઉપરાંત, બંનેએ અગાઉ પાટણની સ્મિથ જ્વેલર્સમાંથી પણ બે વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાંથી એક વીંટી અમદાવાદમાં ₹23,000માં વેચી હતી.
વલસાડના સરોધી ગામે અકસ્માત:એક વર્ષના બાળકને ડમ્પરે કચડ્યો, સારવાર મળે એ રહેલાં જ મોત
વલસાડ તાલુકાના સરોધી ગામે આવેલા અવધ એન્ટરપ્રાઇઝ રેતીના પ્લાન્ટ ખાતે બુધવારે સાંજે એક દુર્ઘટના બની હતી. એક ટાટા હાઈવા ડમ્ફર (રજી. નં. MH-04-LQ-3022) ની અડફેટે આવતા એક વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલીપભાઈ હરૂભાઈ મકોડિયા છેલ્લા ત્રણ વર્ષથી તેમના પરિવાર સાથે સરોધી ગામના રેતી પ્લાન્ટમાં મજૂર તરીકે કામ કરે છે. બુધવારે સાંજે આશરે 6 વાગ્યે દિલીપભાઈ રેતીની ગુણીઓ ભરવાનું કામ કરી રહ્યા હતા, જ્યારે તેમની પત્ની ઝૂંપડામાં રોટલા બનાવી રહી હતી. તેમનો એક વર્ષનો પુત્ર પ્રવિણ નજીકમાં રમી રહ્યો હતો. તે સમયે ઉત્તરપ્રદેશના રહેવાસી ટ્રક ચાલક શાહ આલમ શાહ હસીમ પૂર ઝડપે ટ્રક હંકારી રેતી ભરવા માટે પ્લાન્ટમાં પ્રવેશ્યો હતો. ટ્રકની અડફેટે આવતા બાળક પ્રવિણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ટાટા હાઈવા ડમ્ફરના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મૃત્યુ નિપજાવવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે બુધવારે મધ્યરાત્રિએ એક વિરલ ખગોળીય સંયોગ રચાયો હતો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ વર્ષમાં એક જ વખત સર્જાતા આ સંયોગમાં ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ હરોળમાં જોવા મળ્યા હતા. ભક્તો આ દિવ્ય દર્શનને અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રદેવે ક્ષય રોગના નિવારણ માટે સોમનાથ મહાદેવની ઉપાસના કરી હતી. આ દિવસની સ્મૃતિમાં, ચંદ્રદેવ દર વર્ષે આ જ દિવસે મહાદેવનો શીતળ ચાંદનીથી અભિષેક કરે છે. ભક્તો માને છે કે આ અભિષેકના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વિરલ સંયોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ધામમાં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ ગુંજી રહ્યા હતા. રાત્રે 11 વાગ્યે મહાપૂજા અને મધ્યરાત્રિએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો. આ પવિત્ર દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શિવે દૈત્ય રાજા ત્રિપુરાસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું. આ વિશેષ પર્વ નિમિત્તે દ્રોણેશ્વર એસ.જી.વી.પી. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ પરેડ સાથે સંગીતમય મહાઆરતી પ્રસ્તુત કરવામાં આવી હતી. ભક્તોએ સંગીતના તાલે મહાદેવની આરતીના દર્શન કર્યા હતા. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ વિદ્યાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની સંગીતકલા સોમનાથ મહાદેવને અર્પણ કરીને આ ધર્મપર્વમાં યોગદાન આપ્યું હતું.
આણંદ શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા એક 26 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર (GJ-23-CJ-8843) નંબરની કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખ્સ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પોલીસ આઇ.ડી. અને પોલીસ લખેલી પ્લેટ પણ છે. અસલી પોલીસ સામે પણ પોતે પોલીસમાં હોવાનો દાવો કર્યોબાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને તેમાં એક વ્યક્તિ બેઠેલો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રધુકુળ સોસાયટી, મોગર, તા.આણંદ) જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઇ.ડી. કાર્ડ બતાવ્યું હતું. ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખુલીજોકે, પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતાં સુરેંદ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે આ પોલીસ આઈ.ડી. કાર્ડ બનાવટી છે. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં, તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન તેમજ મીડિયાનું આઈ.ડી. કાર્ડ મળી આવ્યું હતું. ગાડીમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળીવધુમાં, તેની ગાડીમાંથી લાલ તથા વાદળી કલરના રેડીયમ પટ્ટાવાળી અંગ્રેજીમાં 'પોલીસ' લખેલી પ્લેટ પણ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી છે. પકડાયેલા સુરેંદ્રસિંહ ભરતસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 204, 205, 336(2), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેંદ્રસિંહ પાસેથી મળી આવેલા બનાવટી પોલીસ આઈ.ડી. કાર્ડમાં ઓળખપત્ર નંબર 961 અને ઇસ્યુ તારીખ 28/05/2014 દર્શાવવામાં આવી હતી. કાર્ડ ધારકનું નામ સુરેંદ્રસિંહ ભરતસિંહ અને હોદ્દો 'પોલીસ કોન્સ્ટેબલ' તેમ અંગ્રેજી ભાષામાં લખેલું હતું, તેમજ કાર્ડ પર સુરેન્દ્રસિંહનો ફોટો પણ હતો.
અમદાવાદ શહેર મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2002ના રમખાણ કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ ત્રણેયની સામે એક વીડિયોગ્રાફરે કરેલી ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો, જેમાં રમખાણો દરમિયાન લીધેલા વીડિયો રેકોર્ડિંગમાં આરોપીઓ પાસે AK-47 રાઇફલ દેખાતી હોવાનું જણાયું હતું. પરંતુ તે વીડિયો કેસેટ અદાલતમાં રજૂ કરવામાં આવી નહોતી અને વીડિયોગ્રાફર પોતે હોસ્ટાઈલ થયો હતો. રમખાણોના ત્રણ દિવસ પછી સ્થાનિક વીડિયોગ્રાફર VHS કેસેટ લઈ પોલીસ સ્ટેશન આવ્યાઆ કેસમાં 14 એપ્રિલ, 2002ના રોજ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા રમખાણોની 2 FIRનો સમાવેશ થતો હતો. રમખાણો બાદ ત્રણ દિવસ પછી સ્થાનિક વીડિયોગ્રાફર સતીશ દલવાડી પોલીસ સ્ટેશનમાં VHS કેસેટ લઈને આવ્યા હતા, જેમાં આરોપી- આલમગીર શેખ, હનીફ શેખ, ઇમ્તિયાઝ શેખ, રાઉફમિયા સૈયદ અને અન્ય રમખાણોમાં સામેલ હોવાનું દેખાતું હતું. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી. આરોપીઓ હિન્દુઓના રહેણાંકને નિશાન બનાવતા જોવા મળ્યા હતાજેમાં ઇમ્તિયાઝને AK 47 જેવા હથિયાર સાથે અને એક અજ્ઞાત વ્યક્તિને રિવોલ્વર સાથે હિન્દુઓના રહેણાંક પર નિશાન બનાવતા બતાવવામાં આવ્યા હતા. વીડિયોગ્રાફરના રેકોર્ડિંગના આધારે તેમના પર આર્મ્સ ઍક્ટની કલમો તથા ગુનાહિત ષડયંત્રની કલમ હેઠળ આરોપ મૂકાયા હતા. વીડિયોગ્રાફર દરિયાપુરના સ્થાનિક શાંતિ સમિતિના સભ્ય હતા અને તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. રાઠોડે તેમને રમખાણોની સ્થિતિમાં વીડિયો રેકોર્ડ કરવા માટે કામ સોંપ્યું હતું. અદાલત સમક્ષ વીડિયો કેસેટ રજૂ કરાઈ નથી23 વર્ષ બાદ આરોપી હનીફ શેખનું અવસાન થઈ ચૂક્યું છે. તો સાહેદો હોસ્ટાઈલ થઈ ગયા હતા. ફરિયાદી પોતે પણ હોસ્ટાઇલ થઈ ગયા હતા. અદાલતમાં તેમને કહ્યું હતું કે તેમણે કેમેરામાં શું શૂટ કર્યું હતું તે તેમને ખબર નથી. ત્યારના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.એચ. ચૌહાણ પણ હોસ્ટાઇલ થયા હતાં. અદાલતે જણાવ્યું કે આ કેસની કાર્યવાહી દરમિયાન અદાલત સમક્ષ વીડિયો કેસેટ રજૂ કરવામાં આવી નથી. આ કેસમાં કોઈ હથિયાર પણ મળી આવ્યું નથી, તેમજ એવો કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો રજૂ થયો નથી કે આરોપીઓ પાસે ગુનાના સમયે હથિયાર હતા.
જામનગરના એક યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. ખાસ કોરિડોરની વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જામનગરમાં રહેતા 40 વર્ષીય મુકેશ બાંભણિયાને મગજની લોહીની નસ તૂટવાને કારણે મગજમાં સોજો આવી ગયો હતો. જી.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર છતાં આજે સવારે તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારે અંગદાન માટે સંમતિ આપતા, રાજ્ય સરકારની NGOની એક તબીબી ટુકડી અમદાવાદથી બપોરે જામનગર આવી પહોંચી હતી. જી.જી. હોસ્પિટલમાં ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગોને સાંજે વિમાન માર્ગે સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા. આ માટે પોલીસે જી.જી. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરી હતી અને રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અંગો સાથેની ખાસ એમ્બ્યુલન્સને એરપોર્ટ સુધી ઝડપથી પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસિયા અને ન્યુરો સર્જરી વિભાગના ડો. ભૌમિક, ડો. પવન વસોયા અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
છેલ્લા ચાર મહિનાથી ફરાર રહેલા 15 લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપીને છાણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે અને આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના 15 લાખ રુપિયાના છેતરપીંડીના ગુનાના વોન્ટેડ આરોપી તુષારભાઈ દિલીપભાઈ સપકાલ છાણી ખાતે આવેલ રામાકાકા ડેરી સામે આવેલ ચાની કીટલી પાસે ઉભો છે. છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એલ. પ્રજાપતિના માર્ગદેશન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસોને બાતમી આધારે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેના સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હોવાની કબૂલાત કરી હતી. જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. માંજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી તુષારે 3 મિત્રોને ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ત્રણ મિત્રો પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વર્ક પરમિટ વિઝા આપ્યા નહોતા. જેથી સુરતના યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવકોને ન્યૂઝીલેન્ડમાં 13- 13 લાખ રૂપિયાના પેકેજ આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધા હતા. પકડાયેલ આરોપીનુ નામ તુષારભાઈ દિલીપભાઈ સપકાલ ઉ.વ-35 ધંધો-વિઝા એજન્ટ રહે.ડી/25, પરિશ્રમ સોસાયટી, ચન્દ્રનગર સોસાયટીની પાસે તરસાલી, વડોદરા શહેર
સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે. વહેલી સવારે 3 વાગ્યે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશનક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમ ચોક્કસ બાતમીના આધારે સલમાન લસ્સીની ધરપકડ કરવા વહેલી સવારના 3 વાગ્યે નવસારીના ડાભેલ ગામે પહોંચી હતી. સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. 3.15 વાગ્યાની આસપાસ ધરપકડથી બચવા માટે સલમાન લસ્સીએ સૌથી પહેલા બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતુ. આ દરમિયાન તેણે PI પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં PI પી. કે. સોઢાએ પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
ટ્રમ્પના હઠાગ્રહને કારણે અમેરિકામાં સૌથી લાંબુ શટડાઉન, મહત્ત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ ગઇ
Donald Trump and USA Shutdown : અમેરિકન પ્રશાસનનું શટડાઉન 37માં દિવસમાં પ્રવેશીને દેશના ઈતિહાસની સૌથી લાંબુ શટડાઉન બની ગયું છે. આ શટડાઉનના પગલે મહત્વપૂર્ણ સેવાઓ લકવાગસ્ત થઈ ગઈ છે, લાખો ફેડરલ કર્મચારીઓનો પગાર બંધ થઈ ગયો છે અને વ્યાપક વિક્ષેપ સર્જાયો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આરોગ્ય વીમા સબ્સિડી રિન્યુ કરવા માટે ડેમોક્રેટ્સ સાથે સરકાર ફરી શરૂ કરવા સહમત થાય ત્યાં સુધી વાટાઘાટ કરવાની ઈન્કાર કરવાથી આ મડાગાંઠ સર્જાઈ છે. ડેમોક્રેટ્સને ટ્રમ્પના આશ્વાસનો પર વિશ્વાસ નથી, ખાસ કરીને તેમના પ્રશાસને નબળા વર્ગના નાગરિકોની સુરક્ષા માટે કોર્ટના નિર્દેશો છતાં એસએનએપી ખાદ્ય સહાયમાં ઘટાડો કર્યો તેનાથી તેઓ નારાજ છે.
દેવ-દિવાળીની ઉજવણી:લવાછા રામેશ્વર મંદિરે 1.31 લાખ દિવડા પ્રગટાવી દેવ-દિવાળીની ઉજવણી
વાપી તાલુકાના લવાછા ગામે દેવ દિવાળીના પાવન પર્વએ દીપ મહોત્સવનું સમસ્ત હિન્દુ સંગઠન ( અખંડ ભારત) દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે 1,31,131 દિવડા પ્રગટાવામાં આવ્યા હતાં જેને લઇ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું હતું. આ ઉજવણીને સફળ બનાવવા હિન્દુ સંગઠનના અનેક સ્વયંસેવકો જોડાયા હતા. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ દીપ પ્રગટાવવા સાથે મહાદેવનો જળાભિષેક કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
મતદાન:દાનહ-દમણની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 ટકા મતદાન, મહિલાઓ બુથો પર ઉમટી
દાનહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બુધવારે શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.નગર પાલિકા અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયત સભ્ય માટે 6 ગ્રામ પંચાયત સરપંચ 20 અને સેલવાસ નગર પાલિકામાં 1 વોર્ડમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે.શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. 316 પોલિંગ બુથ પર પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તમામ મતદાન મથકો પર મતદારો માટે પીવાના પાણીની, ટોયલેટની,ગરમીથી બચવા છાંયડાની વ્યવસ્થા કરી હતી.પ્રશાસને દિવ્યાંગો,વરિષ્ઠ નાગરિક અને બીમારો માટે ખાસ વ્યવસ્થા કરી હતી. દરેક બુથ પર ફસ્ટએઇડ કીટ,વહીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી.આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દાનહમાં જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 60 ટકા અને નગરપાલિકામાં 33.31 ટકા મતદાન થયું હતુ.આ ચૂંટણીમાં 8 નવેમ્બરે કરાડ કોલેજ પરિસરમાં મતગણતરી હાથ ધરાશે. પરિણામ બાદ ભજપ- કોંગ્રેસ- શિવસેના અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. સંઘ પ્રદેશ દમણમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયુ હતું.દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં નગર પાલિકામાં 56.77 ટાકા અને પંચાયતોમાં 65.66 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, દમણ જિ.પં.ની કુલ 16 બેઠકોમાંથી 10 પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું હતું. દમણ નગરપાલિકાની કુલ 15 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું હતું.માત્ર 3 વોર્ડમાં જ ચૂંટણી યોજાઇ હતી. તો દમણની 16 ગ્રામ પંચાયતોમાંથી 9 ગ્રામ પંચાયતો ભાજપ સમર્થિત સરપંચ બોડી સાથે ‘સમરસ’ જાહેર થઈ હતી. બાકીની 7 સરપંચ પદની બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. સેલવાસ નગરપાલિકામાં કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યું હતું જેથી 9 બેઠક માટે મતદાન થયું હતું. દાનહની ચૂંટણીમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. જયારે દિવ્યાંગોને મતદાન માટે મદદ કરવામાં આવી હતી. બેઠકો બિનહરીફ જાહેર થતા નિરાશાદર ઇલેક્શનમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવતા હતા. જેમ કે, રોકડ રકમ, ઇલેક્ટ્રોનિક ગેઝેટ, ખાવા પીવાની વસ્તુઓ આપીને મતદાતાને પોતાની તરફ મતદાન કરવા અપીલ કરતા હતા. પરંતુ આ વર્ષે બંને પ્રદેશના ઇલેક્શનમાં મોટા ભાગની સીટો બિનહરીફ થતા મતદારોમાં ભારે નિરાશા જોવા મળી હતી.
ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:છીરી નહેરમાં ગંદકીનું સામ્રાજ્ય, લોકોના આરોગ્ય સામે જોખમ
વાપી નજીક છીરી નહેરનાં પાણીમાં લોકો નકામો કચરો ઠાલવતાં ગદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઈ નહેરનાં પાણી નો બગાડ થતાં પાણી નો પીવા માં કે ખેતીના ઉપયોગ માટે લેતાં લોકોના આરોગ્ય સામે જોખમ રહે છે.માટે નહેરનું પાણી સ્વચ્છ રાખી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.આમ છીરી નહેરમાં ગદકી થી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
મહિલાનું મોત:શુકલતીર્થમાં ખેતરની વાડમાંથી કરંટ લાગતાં મહિલાનું મોત
શુક્લતીર્થ ખપ્પર માના ફળીયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખ પટેલ (ઉ.વ.55) ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા. 3જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વૈરવા વગામાં રાજીવકુમાર રામપ્રતાપ મોર્યના ખેતર તરફ ગયેલા હતા.જયેશ પટેલે જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને બાઇક ઉપર ખેતર સુધી છોડ્યા હતા.થોડા સમય બાદ રાજીવકુમાર મોર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે. માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા,જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા.ત્યારબાદ તેમને દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.
યુવાનનું મોત નીપજ્યું:કબીરવડ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી નેત્રંગના 19 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું
ભરૂચ જિલ્લાના તીર્થસ્થાન કબીરવડ પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી 19 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ ઘટના સવારના 6 વાગ્યાના અરસામાં બની હતી. નેત્રંગ તાલુકાના રહેવાસી આદર્શ વસાવા નામનો યુવક પોતાના મિત્રો સાથે કબીરવડ વિસ્તારમાં ફરવા ગયો હતો. નદી કિનારે ગયાં બાદ તે પાણીમાં ઉતર્યો હતો જેમાં ઉંડાઇનો ખ્યાલ નહિ રહેતાં તે ડૂબવા લાગ્યો હતો. તેની સાથે આવેલા મિત્રો તથા સ્થાનિક લોકોએ મદદનો પ્રયાસ કર્યો હતો પણ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ અંગે ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરવામાં આવી હતી. ભરૂચ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી અન્ય ટીમો પણ બોલાવવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપત્તા બનેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. બનાવના પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું હોવાથી નદીના જળસ્તરમાં વધારો થયો હોવાથી યુવાન દૂર સુધી ખેંચાઇ ગયો હોવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે.
ભાસ્કર લેટનાઇટ:બગવાડાથી 30 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
વલસાડ જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વલસાડ LCB દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરીમાં આજે એક મોટી સફળતા મળી છે. એલ.સી.બી. વલસાડની ટીમે બગવાડા ટોલનાકા નજીકથી રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાંથી રૂપિયા 30 લાખથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.ના અ.પોલીસ કોન્સ્ટેબલ નીતિન બાબુલાલ ચૌધરીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, મહારાષ્ટ્ર તરફથી સુરત જઈ રહેલા મરુણ કલરના ટાટા કન્ટેનર (નંબર-RJ-1 4-GG-1682) ની વોચ ગોઠવવામાં આવી હતી.અને નેશનલ હાઇવે નંબર 48 કન્ટેનરને આંતરી લેવામાં આવ્યું હતું. જોકે કન્ટેનરના ચાલકે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કન્ટેનરમાં 9166 પ્લાસ્ટિકના બકેટ ભરેલા હોવાનું ખોટું બિલ અને ઈ-વે બિલ રજૂ કર્યું હતું. જોકે, બાતમી પાક્કી હોવાથી પોલીસે કન્ટેનરના પાછળના દરવાજા ખોલીને તપાસ કરતાં, અંદરથી વિદેશી દારૂ રોયલ બ્લૂ મેટલ વિસ્કીના 625 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 30,000 બોટલો હતી, જેની કિંમત રૂપિયા 30,00000 આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટાટા કન્ટેનર (અંદાજે 10,00000 અને મોબાઈલ ફોન સહિત કુલ 40,05,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.અને કાલુરામ રતનલાલ માલી (ઉંમર 32 રહે. રાજસમંદ, રાજસ્થાન )નીધરપકડ કરી શિવલાલ પન્નાલાલ માળી અમ્રાભાઈ (ભીવંડી ખાતે દારૂ ભરાવનાર).ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગૌરવની વાત:વલસાડના પી.ટી.શિક્ષકને સ્ટેટ માસ્ટર્સ એથલેટિક્સમાં 3 મેડલ
ગુજરાત માસ્ટર્સ ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત 10th ગુજરાત માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન સરિતા ગાયકવાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા, ડાંગ જિલ્લા મુકામે થયું હતું.જેમાં વલસાડની આવાબાઇ હાઇસ્કુલમાં ફરજ બજાવતા પીટી શિક્ષક અશોક ટંડેલે 2 ગોલ્ટ અને 1 સિલ્વર મળી 3 મેડલ કરી વલસાડનું અને જિલ્લાનુ નામ રોશન કર્યું છે. બાઈ આવાંબાઈ હઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષકઅશોકકુમાર કાનજીભાઈ ટંડેલએ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ ચૅમ્પિયનશીપમાં 50+ વય જૂથની રમત જેવીકે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને હેમર થ્રોમાં સિલ્વર મેડલ આમ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મળી કુલ 3 મેડલ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય કક્ષાએ શાળાનું તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કારનાર અશોકકુમાર કાનજીભાઇ ટંડેલને શાળાના ટ્રસ્ટીગણ, ઇન્ચાર્જ આચાર્ય હીનાબેન દેસાઈ તથા આવાં પરિવારે નેશનલ તથા ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આવી ઉચ્ચ કક્ષાની પ્રગતિ કરતા રહે એવા આશીર્વાચનો આપ્યા છે.
ભાસ્કર નોલેજ:સરકારે 17 માગણી સંતોષતા 479 દુકાનો પુન: શરૂ
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વ્યાજબી ભાવની દુકાનના એસોસિએશન વિવિધ પડતર માગને લઈને અસહકારના આંદોલન કરી રહ્યું હતું. ત્યારે સરકારે 20 માથી 17 માગણી સ્વીકારતા ભરૂચ જિલ્લાની 479 સસ્તા અનાજની દુકાનોમાં અસહકાર આંદોલન આજથી મોકૂફ રાખવામાં આવ્યું છે. અગાઉ ગાંધીનગરમાં વ્યાજબી ભાવની દુકાનના એસોસીએશનની 25 ઓક્ટોબર ની રજુઆત ના સંદર્ભે વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માગણીઓને લઈને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માં બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ 20 માગણીઓ પૈકી 11 જેટલા મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ મુખ્ય ત્રણ મુદ્દાઓ સંતોષવામાં નહીં આવતા ભરૂચ જિલ્લાના એફપીએસ એસોસિએશને અસહકાર આંદોલન જારી રાખ્યું હતું. જેથી સરકાર સાથે ફરી બેઠક કરી ત્યાર બાદ એસોસીએશનની 20 માંથી 17 માગણી સરકારે સ્વીકારી છે. જેને લઈને જિલ્લાની 479 સસ્તા અનાજની દુકાનોમાં અસહકાર આંદોલન સમેટાઈ ગયુ છે. હવે અનાજ માટે ચલણ ભરવા સહિતની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જેથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો આવતા તાત્કાલિક વિતરણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. 20 માંથી આ ત્રણ માંગની હજુ પણ અસ્વીકાર અસહકારના આંદોલન સમેટી ચલણ ભરવાની પ્રક્રિયા શરૂ કરીસરકારે હાલ અમારી 20 જેટલી મુખ્ય માગણી માથી 17 માગણીનો સ્વીકાર કર્યો છે તેથી અસહકારના આંદોલન આજથી બંધ કરવામાં આવ્યું છે.આમ આગામી બે દિવસ ચલણ ભરવાની અને પૈસા ભરવાની પ્રક્રિયા ચાલશે, પ્રક્રિયા પૂર્ણ થતાં લોડિંગ ની કામગીરી ચાલુ થશે અને દુકાન મા અનાજ આવ્યા બાદ વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. > નરેન્દ્રસિંહ પરમાર, એફપીએસ એસોસિએશન પ્રમુખ ભરૂચ
કાયદો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી:જિલ્લામાં તહેવારને ધ્યાને લઈ સભા અને સરઘસ બંધી
વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ - 1951ની કલમ-37(૩) થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લામાં તા.17 નવેમ્બર 2025 સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું છે. આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ ૧135(1) તથા ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ – 223અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
એક્સપાયરી ડેટની ફરિયાદ મળતા કાર્યવાહી:વલસાડમાં સ્માર્ટ બજારમાંથી ઘી અને નૂડલ્સ સહિત 9 વસ્તુ મળી
વલસાડ શહેરમાં 3 નવેમ્બરે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સની ટીમે દશેરા ટેકરી રોડ પર આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં ચેકિંગ હાથ ધરતાં દોડધામ મચી ગઇ હતી. ડિસ્કાઉન્ટમાં વેચાણે મુકેલી વસ્તુઓની એક્સાપયરી ડેટનું ચેકિંગ કરાયુ હતું. જેમાં જૂની તારીખની ખાદ્યચીજવસ્તુનો રૂ.3064નો જથ્થો નષ્ટ કરી દીધો હતો. વલસાડના દશેરા ટેકરી રોડ પર રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સાપયરી ડેટની વસ્તુઓ અંગે ફરિયાદ મળી હતી.આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર.વલવી સતર્ક થઇ ગયા હતા. ડીઓ વલવીના માર્ગદર્શન હેઠળ હલકી ગુણવત્તા તથા એક્ષપાયરી તારીખ વાળી ખાધચીજોને ડીસ્કાઉન્ટમાં વેચાણ કર્યા અંગેની ફરિયાદ એક જાગૃત નાગરીક દ્વારા મળતા આ તંત્ર,ના ફૂડ સેફટી ઓફિસર કુ. બી.કે. પટેલ નાઓએ રીલાયન્સ સ્માર્ટ બજાર, છીપવાડ તા. જી.વલસાડની તપાસણી હાથ ધરી એક્સપાયરી વાળી 9 ચીજ-વસ્તુઓ જેની કિંમત રૂ.3064 હતી તેનો પેઢીની રૂબરૂમાં નાશ કરાવી દીધો હતો.સંચાલકોને અક્સપાયરી પ્રોડક્ટને ડીસ્પ્લેમાં ન રાખવા જણાવવામાં આવ્યું છે. આ અખાદ્ય સામગ્રી મળીરિલાયન્સ સ્માર્ટ બજારમાંથી જિ.ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઓર્ગેનિક મુંગ ગ્રીન 500 ગ્રામના 2 પેકેટ,ગોવર્ધન પ્યોર ઘી 1 લિટરપેકેટ,પિકવિક ક્રિમી બિસ્કિટ 150 ગ્રામ પેકેટ, વેનિલા ફલેવર્ડ ક્રિમી વોટર બિસ્કિટ, ચોકલેટ ફલેવર્ડ બિસ્કિટ,ફ્રાયલો પ્રિમીયમ વેવી ચિપ્સ, દેશી કિચન જિન્જર પેસ્ટ 200 ગ્રામ પેકેટ,વિકેડ ગુડ મન્ચો નુડલ્સ એક્સપાઇરી ડેટનાં મળ્યા હતા
તાપમાન:ભરૂચ જિલ્લામાં માવઠું બંધ થતાં તાપમાન વધી 32 ડિગ્રી પહોંચ્યું
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતાં તાપમાન વધ્યું છે જેના કારણે દિવસ દરમિયાન બપોરના સમયે ગરમી અનુભવાઇ હતી. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટીને 32 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધી 60 થી 85 ટકા અને પવનની ગતિ 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમજ ભેજનું પ્રમાણ વધવાની શક્યતા સેવાઇ રહી છે. પવનની ગતિ માં ઘટાડો થતાં ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી જીવાતો સામે રક્ષણ મેળવી શકશે. ઉલેખનીય છે કે માવઠાને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. પરંતુ જે પાક ઉભો હોય તેની માવજત કરવાની સલાહ આપી હતી.
રખડતા શ્વાનનો આતંક:ચીખલીમાં સપ્તાહમાં 6થી વધુ લોકો પર રખડતા કુતરાનો હુમલો, ભયનો માહોલ
ચીખલીમાં છેલ્લા એક સપ્તાહમાં 6થી વધુ લોકો પર રખડતા કૂતરાઓએ હુમલો કરતા તબીબી સારવાર લેવાની ફરજ પડી છે. ચીખલીના બજાર વિસ્તારમાં પણ રખડતા કૂતરા અને ઢોરના આતંકને કારણે જાણે ભયનો માહોલ છવાયો છે. ચીખલીના બજાર વિસ્તાર સહિત જાહેર માર્ગો પર દિવસ-રાત લોકો ડરના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. જ્યારે કેટલાક લોકો ઉપર કૂતરાએ હુમલો કરતા ગંભીર ઈજાનો ભોગ પણ બન્યા છે. છેલ્લા એક જ સપ્તાહમાં ચીખલીના બજાર વિસ્તારમાં છથી વધુ લોકોને રખડતા કૂતરાઓએ કરડ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. કૂતરા કરડતા લોકોને તાત્કાલિક તબીબી સારવાર લઇ ઇન્જેક્શન લેવાની ફરજ પડી છે. જ્યારે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે એક વ્યક્તિ પાછળ કૂતરા દોડતા તે ગભરાઈને પડી જતા શખ્સને હાથમાં ફ્રેકચર થતાં ગંભીર ઈજા થઈ છે. સદભાગ્યે કોઈ ગંભીર ઇજા ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને રાત્રીના સમયે બાઇક પર પસાર થતા લોકો કે પછી ચાલીને જતા રાહદારીઓ પાછળ કૂતરાઓનું ટોળું દોટ મૂકતા અકસ્માત અને કરડવાના બનાવો સતત વધી રહ્યાં છે, જેના કારણે ચીખલીના રસ્તાઓ પર ભયનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચીખલી પંથકમાં આવી ઘટનાઓ બની ચુકી છે ત્યારે તંત્ર દ્વારા આ રખડતા અને હુમલો કરનાર કુતરાઓને પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ ઉઠવા પામી છે. રખડતા ઢોરોનો પણ એટલો જ ત્રાસરખડતા કૂતરાઓની સાથે રખડતા ઢોરોનો ત્રાસ પણ જોવા મળે છે. ચીખલીના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરો અવાર-નવાર એકબીજા સાથે જંગે ચડતા નજરે પડે છે. આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી જાય છે. જેનાથી ગમે ત્યારે ગંભીર અકસ્માત થવાનો કે રાહદારીને ઈજા થવાનો ભય સતત તોળાય રહ્યો છે.

30 C