SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

સુરતથી સોનાર બાંગ્લા:ઉધના સ્ટેશન પર 'મિની બંગાળ' જેવો માહોલ, તિરંગા લઇ 1300 શ્રમિકો મતદારો સાથે 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન રવાના, ગૂંજ્યા વંદે માતરમ્ અને જય શ્રી રામના નારા

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી એક અલગ દ્રશ્ય જોવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1300 થી વધુ મતદારો 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેનમાં સવાર થઈ રવાના થયા હતા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને આખું સ્ટેશન 'વંદે માતરમ' તથા 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. સુરત ભાજપ અને બંગાળી સમાજનું આયોજન: 4 ટ્રેનો જશે કોલકાતાસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. રવિવારે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે જેથી મતદારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે. 'પરિવર્તન યાત્રા' દ્વારા બંગાળમાં પરિવર્તનનો સંકલ્પસુરત બંગાળી સમાજના અગ્રણી સદાનંદ રાઉતે જણાવ્યું હતું કે, અમે આ ટ્રેન 'પરિવર્તન યાત્રા' માટે કાઢી છે. અમે આ વખતે પશ્ચિમ બંગાળમાં શાસન બદલવા માંગીએ છીએ. સુરતથી જઈ રહેલા આ 1800 જેટલા લોકો માત્ર મુસાફરો નથી, પણ 1800 વોટ છે જે પરિવર્તન લાવશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. શ્રમિકોમાં ભારે ઉત્સાહ: “સિન્ડિકેટ રાજ ખતમ કરવું છે”ટ્રેનમાં જઈ રહેલા મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અરુણ મંડલે વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં તૃણમૂલની સરકારમાં લૂંટફાટ અને સિન્ડિકેટ રાજ ચાલે છે. અમે ઈચ્છીએ છીએ કે ભાજપ સરકાર આવે તો બધું શાંત થાય. જેમ ઉત્તર પ્રદેશ સુધરી ગયું છે, તેમ બંગાળમાં પણ નવો કાયદો આવે અને સુધારા થાય તે માટે અમે આટલે દૂરથી વોટ આપવા જઈ રહ્યા છીએ. તેમને એસી કોચમાં ફ્રી મુસાફરી મળતા પણ ભારે ખુશી વ્યક્ત કરી હતી. 2.5 લાખ બંગાળી મતદારો પર ભાજપની નજરસુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ એક મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે મોંઘી ટિકિટ કે ટ્રેનોમાં ભીડને કારણે આ લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપે આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને પોતાના પરિવાર અને ગામમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. ગરીબ કારીગરો માટે મતદાન માટે તકસુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા આ ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક તક બની છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે અમે કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છીએ. સુરતથી શરૂ થયેલું વાવાઝોડું બંગાળમાં શું અસર કરશે?સુરતના ઉધના સ્ટેશન પર જે રીતે ભગવો માહોલ અને ભારત માતા કી જયના નારા લાગ્યા, તે જોતા લાગે છે કે સુરતના બંગાળીઓએ મન બનાવી લીધું છે. આ મતદારો જ્યારે બંગાળના અલગ-અલગ ગામોમાં પહોંચશે, ત્યારે તેઓ ભાજપના 'બ્રાન્ડ એમ્બેસેડર' તરીકે કામ કરશે. હવે જોવાનું એ રહેશે કે સુરતથી ઉપડેલી આ 'પરિવર્તન યાત્રા' પશ્ચિમ બંગાળના રાજકારણમાં કેટલી મોટી ઉથલપાથલ સર્જે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 1:49 am

'4 કિમી ચાલીને જાય ત્યારે પાણી મળે':'નળ કનેક્શન હોવા છતાં ટેન્કર પર નિર્ભર રહેવું પડે', 30 વર્ષથી ગંદકી-કચરાની સમસ્યાથી વોર્ડ-5ના સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને દિવ્યભાસ્કરની ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સમસ્યા જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વોર્ડ નંબર-5નાં છેવાડાનાં વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા છપનિયા ક્વાર્ટર અને મંછાનગર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી હતી. ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડવાનાં સરકારનાં દાવાઓ વચ્ચે અહીંના લોકો પાણી માટે 3-4 કિલોમીટર દૂર ચાલીને જવા માટે મજબુર હોવાનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં અહીં સફાઈ અને રોડ-રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. અને કોર્પોરેટરો મત લઈ ગયા બાદ ક્યારેય ડોકાયા નહીં હોવાનું લોકોએ જણાવ્યું હતું. પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ હોવાથી ભરઉનાળે હાલાકીસ્થાનિક લીલાબેને જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે મતો લેવા માટે અનેક નેતાઓ આવતા હોય છે, પરંતુ અત્યારે અમારી સમસ્યા સાંભળવા કોઈ આવતું નથી. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મંછાનગરમાં છેલ્લા 30 વર્ષથી ગંદકી-કચરાની સમસ્યાસ્થાનિક મોહિત શુક્લે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે નાના હતા અને ચડ્ડી પહેરીને ફરતા હતા, ત્યારથી આ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોઈ રહ્યા છે. આજે 30 વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. રસ્તાઓ પર કચરાના ગંજ ખડકાયેલા રહે છે અને ગટરની લાઈનો ઉભરાવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી રહ્યો છે, જેનાથી વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં ગંદકીની સમસ્યાને કારણે રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. 'ચૂંટાયેલા પ્રતિનિધિ કોણ છે ખબર નથી'સ્થાનિક આંબાભાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અત્યારે રૈયાભાઈ બાંભવા નામના વ્યક્તિ સેવાકીય ભાવનાથી લોકોના કામ કરી આપે છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોણ છે અને ક્યાં છે તેની પણ અમને જાણ નથી. '4 કિલોમીટર ચાલીને જાય ત્યારે પાણી મળે'માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અહીં રહેતા જમુબેને જણાવ્યું હતું કે, પાણીની સુવિધા ન હોવાથી મહિલાઓને 4 કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. ત્યાંથી પાણી ભરી લાવ્યા બાદ જ કપડાં ધોવા જેવી પાયાની જરૂરિયાતો પૂરી થઈ શકે છે. સ્થાનિક કોર્પોરેટર પણ આ સમસ્યા તરફ ધ્યાન આપતા નથી. ચૂંટણી સમયે અનેક લોકો મત લેવા આવે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. હાલ ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. ‘અધિકારીઓ માત્ર નિરીક્ષણ કરે, નિરાકરણ નથી લાવતા’સ્થાનિક અલ્પાબહેનનું કહેવું છે કે, માર્કેટિંગ યાર્ડનું તમામ ગંદુ પાણી અને ગટરનું પાણી તેમના વિસ્તારમાં આવેલા ખાડાઓમાં ભરાય છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પીવાના પાણીની પાઈપલાઈનમાં પણ ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. અધિકારીઓ સ્થળ ઉપર આવીને માત્ર નિરીક્ષણ કરીને જતા રહે છે, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ‘વરસાદમાં ઘરમાં ગંદા પાણી ભરાઈ છે’આ જ વિસ્તારના સ્થાનિત મીરાબેને જણાવ્યું હતું કે, જ્યારે પણ વરસાદ આવે ત્યારે આખું ઘર ગંદા પાણીથી ભરાઈ જાય છે અને સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ‘રસ્તાઓનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું’શિવનગરના રહીશ પરેશભાઈ રાતડિયાએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. રસ્તાઓનું કામ અધૂરું મૂકી દેવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ કામદારો કે મનપાનાં અધિકારીઓ આ તરફ ડોકાતા પણ નથી. ત્યારે રોડ-રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને સફાઈ માટે કચરાપેટી કે કચરા ગાડીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. 'નળ કનેક્શન છતાં ટેન્કર પર નિર્ભર રહેવું પડે'વિક્રમભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, રોડની ખરાબ હાલતને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને જ્યારે બાળકોને શાળાએ જવાનું હોય ત્યારે એકમાત્ર રસ્તો હોવાથી વારંવાર અકસ્માતનો ભય રહે છે અને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવું પડે છે. નળ કનેક્શન હોવા છતાં લોકોએ ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. આ ઉપરાંત વિસ્તારમાં સફાઈ કામગીરી પણ અનિયમિત હોવાથી રોગચાળો વકરી રહ્યો છે. વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો:રૈયાભાઈ બાંભવાકોંગ્રેસના ઉમેદવાર રૈયાભાઈ બાંભવાએ ગંભીર આક્ષેપો કર્યાં. તેમણે જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ ચોકડી, આર્યનગર અને છપનિયાથી પાંજરાપોળ સુધીના વિસ્તારોમાં વિકાસના નામે શૂન્ય કામગીરી થઈ છે. ભાજપના કોર્પોરેટરો છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની મુલાકાતે પણ આવ્યા નથી અને લોકોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. રૈયાભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે અને સરકારી ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી સાચો વિકાસ કરવામાં આવશે. 'જૂની ભૂગર્ભ ગટરની લાઈનો હજુ બદલવામાં આવી નથી'કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર રૈયાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટરની લાઈનો હજુ બદલવામાં આવી નથી, જેના કારણે લોકોને પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. આ વિસ્તારમાં રમત-ગમતના મેદાન અને હોકર્સ ઝોન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સરકારી જમીનોની બારોબાર હરાજી કરી દેવામાં આવે છે, જે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. સાથે જ રૈયાણીએ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે અને લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:05 am

ગુજરાતની વધુ એક લોકગાયિકાના પ્રેમલગ્નનો વિવાદ:કાજલ મહેરિયાના પરિવારજનો અને સમાજના આગેવાનો સાસરીમાં પહોંચી જતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માગતા વિવાદ સર્જાયો છે. રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચી જતા પોલીસ દોડતી થઈ હતી. બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી. કાજલ દ્વારા પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. કાજલના પરિવારજનો સમાજના આગેવાનો સાથે શેરથા ગામ પહોંચ્યા હતાગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી- PIસમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પી.આઇ. એસ. જી. દેસાઈએ કહ્યું કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી. એક મહિના પહેલા લોકગાયિકા કિંજલ રબારીના લવમેરેજને લઈ વિવાદ થયો હતોરાધનપુરના સિનાડ ગામની વતની અને 'કોયલ કંઠી' ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. ત્યારબાદ બે સમાજ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. કિંજલ રબારી દ્વારા શરૂઆતમાં તો વીડિયો બનાવી પોલીસ પાસે મદદ માગી હતી. જો કે, વિવાદ વધુ વકર્યા બાદ બંને સમાજના આગેવાનોએ બેઠક કરી મામલો શાંત પાડ્યો હતો અને અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) ચાર મહિના પહેલા પાટીદાર સિંગર આરતી સાંગાણીએ કરેલા મૈત્રીકરારનો વિવાદ થયો હતોસુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતાં આરતીનાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પિતાએ રડતાં રડતાં દીકરી આરતીને પરત આવી જવા અપીલ કરી હતી. પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ કરાતાં આરતી સાંગાણીએ વીડિયોના માધ્યમથી જવાબ આપ્યો હતો. અલગ અલગ ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વીડિયો વાઇરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, એ દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે. મારા જીવન માટે. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે, પણ આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને તેની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતાં બ્રહ્મસમાજે બહિષ્કાર કર્યો હતોગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતાં પાંચ પરગણાં બ્રહ્મસમાજમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો અને સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરાયો હતો. સમાજના નિર્ણયની સામે ચૂપ બેસી રહેવા બદલે કિંજલ દવેએ પણ સવાલોનો મારો કર્યો હતો અને કહ્યું હતું કે દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટાપ્રથાથી પીડિત છું. કિંજલે વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઉડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે શું બે-ચાર આવાં અસામાજિક તત્ત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:05 am

'ગટરના ઢાંકણા ખુલ્લા છે, અંદર પડવાનો ભય':'સમસ્યાઓ કહીને હવે થાકી ગયા છીએ', વોર્ડ-15ના સ્થાનિકે કહ્યું 'પૂર સમયે ત્રણ દિવસ ઘરમાં ખાધાપીધા વગર બેસી રહ્યાં'

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 15માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી વોર્ડ નંબર 15ના વિસ્તારોનો ચિતાર મેળવવા માટે. આ વોર્ડમાં કોર્પોરેટર ભાજપના હોવા છતાં સમસ્યાઓને નિવારવા માટે પોતાના જ પક્ષ સામે પડ્યા હતા. જેમાં ખાસ કરીને આ વોર્ડમાં આવતી સ્કૂલના બાળકો હરણી બોટ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. ત્યારે અહીંના સ્થાનિક અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોષી અને પારુલ પટેલ બંને ભાજપ સામે લડત ચલાવી અને અંતે તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે સ્થાનિક સમસ્યાઓને લઈને પણ આ બંને કોર્પોરેટર કોર્પોરેશનમાં લડત ચલાવી હતી. વોર્ડ 15માં ગુજરાત સરકાર જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ આવેલો છે. આ સાથે આ વોર્ડમાં સરકારી વસાહતો પણ આવેલી છે. પૂનમ કૉમ્પ્લેક્સ પાસે અંબાલાલ પાર્ક મેદાનમાં ગરબા અને સ્પોર્ટસ માટે યુવાઓ ખેલતા હતા. ત્યાં કોર્પોરેશને જંગલ બનાવી દીધું છે. 'પૂર સમયે કોઈ ભાવ પૂછવા ન આવ્યું'સ્થાનિક ગિરીશભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, કોઈ આપત્તિ આવે ત્યારે ભાજપનો કોઈ કાર્યકર્તા આવતો નથી. છેલ્લે પૂર આવ્યું ત્યારે ત્રણ દિવસ મારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને અમે ખાધાપીધા વગર બેસી રહ્યા હતા. ત્યારે કોઈ ભાવ પૂછવા આવ્યું નથી. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યો નથી કે કોઈ સહાય આપવામાં આવી નથી. પાંચ વર્ષ સુધી કોઈ જોવા આવ્યું નથી અને હવે આવશે તો પહેલા મારું કામ કરો તો વોટ આપીશું તેવું જણાવ્યું હતું. ‘ફિલ્ટરથી 4 વખત ગાળ્યા વિના પાણી પીવા લાયક નથી’શારદા ડુપ્લેક્ષમાં રહેતા દીક્ષિત અમીને જણાવ્યું હતું કે, પાણી ચાર ફિલ્ટરથી ગાળ્યા વગર પીવે તો પીવા લાયક જ નથી. કેમ કે તે માત્ર વસ્તુઓ ધોવામાં કામ લાગે તેવું છે. આ માટે અમે ચાર હજારનું મશીન વસાવ્યું છે, પાણીનું પ્રેશર મળતું નથી, કોર્પોરેશન યોગ્ય રીતે ચેક કરતા નથી. મોદી પ્રોપર કામ કરે છે પણ નીચેના લેવલ પર હજુ જરૂર છે. 'ગટરના ઢાંકણા ખુલ્લા છે, અંદર પડવાનો ભય'કુબેરેશ્વર મહાદેવ પૂનમ કોમ્પલેક્ષ પાસે રહેતા વર્ષાબેન પંચોલીએ જણાવ્યું હતું કે, અહીંયા આસપાસ ગટરના ઢાંકણ ખુલ્લા છે, જે વરસાદ આવે ત્યારે અંદર પડવાનો ભય રહે છે. ક્યારેક મગર અને સાપ આવી જાય છે. રજૂઆત કરીએ છીએ છતાં અહીંયા કોઈ જોવા આવતું નથી. ‘વોટ માંગવા આવશે પરંતુ કામ કરવું નથી’સૌરભી વાટિકા વિસ્તારમાં રહેતા હર્ષ જૈને જણાવ્યું હતું કે, અહીંયા ત્રણ ચાર મહિના અગાઉ રોડ પર પાઈપ લાઈનનું કામ કર્યું છે તેના પર હજુ સુધી રોડ બન્યો નથી. વોટ માંગવા આવશે પરંતુ કામ કરવું નથી.સાંઈ વિહાર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, આ બાબતે અહીંના સ્થાનિક આગેવાનોને જાણ કરી છે કે મારા ઘરની સામે ખાડો પડ્યો છે. છતાં કોઈ સંભળાતું નથી. અમારે પાણી તો આવે છે પરંતુ રસ્તો વ્યવસ્થિત બનતો નથી. 'કામ કરે તેવા ચહેરાને જોઈ મત આપીશું'અંબાલાલ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રિયકાંત પરમારે જણાવ્યું હતું કે, અહીંયા ડ્રેનેજની સમસ્યા છે તે બાબતે રજૂઆત કરવા છતાં પરિણામ મળતું નથી. ચેમ્બરો ખોલી તેઓ માત્ર સળિયા નાખી જતા રહે છે. આવનાર પાંચ વર્ષ માટે કામ કરે તેવા ચહેરાને જોઈ મત કરીશું અને યોગ્ય ચહેરો નહીં મળે તો અમે નોટામાં મતદાન કરી વિરોધ દર્શાવીશું. 'સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે થાકી ગયા છે'ગણેશનગર વિસ્તારમાં રહેતા રમણભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા ગાયોનો ત્રાસ છે, રોડ રસ્તાની સાથે પાણીની સમસ્યા છે. કોઈ નિરાકરણ મળતું નથી હવે થાકી ગયા છે. અહીંયા કોર્પોરેટર આવે છે અને ચક્કર મારે છે અને જતા રહે છે. ‘ચોમાસામાં પાણી ભરાઈ છે નિકાલ થતો નથી’સ્થાનિક ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તાર હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેનો નિકાલ થતો નથી. સામે આવેલ ખુલ્લુ મેદાનમાં સાફ સફાઈ થતી નથી અને મેદાનને જંગલ બનાવવામાં આવ્યું છે જેથી જીવજંતુ આવે છે. ‘થીગડા મારી રોડ બનાવે, આખા રોડનું ટેન્ડર પાસ કરે’આ વોર્ડના કોંગ્રેસ પ્રમુખ મેહુલ કહારે જણાવ્યું હતું કે, રોડ રસ્તા પર થીગડા મારી રોડ બનાવી દેવામાં આવે છે અને આખા રોડનું ટેન્ડર પાસ કરે છે. હાલમાં તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી આપવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. ભાજપ જય શ્રી રામના નારા સાથે ચૂંટણી લડતા હોય તો ચેતી જજો કેમ કે અમે પણ જય શ્રી રામના નારા સાથે ચૂંટણી લડી શકીએ છીએ. અહીંની જનતા જાકારો આપશે અને આ નારાથી તમે રોડ રસ્તાની સુવિધા અપાવી શક્યા નથી. આવાસ યોજનાના નામે મસમોટું કૌભાંડ:પૂર્વ કોર્પોરેટર આશિષ જોષીઆ સાથે અહીંના પૂર્વ ભાજપના કોર્પોરેટર અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોષીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં કલાદર્શન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ગરીબોને બેઘર કરી મકાનો બાંધવાનું મસમોટુ પીપીપી મોડેલથી થયેલ કૌભાંડ સામે આવ્યું છે. અહીંયા વર્ષ 2016માં 100 જેટલા ઝૂંપડા ડિમોલિશ કરીને પ્રધાનમંત્રી આવાસના નામે મોટી સ્કીમ શરૂ કરવામાં આવી હતી જે હજુ પૂરી થઈ નથી. વધુમાં કહ્યું કે, દર વર્ષે બજેટમાં ગરીબીને આવાસ આપવાની વાત કરવામાં આવે છે પરંતુ 10 વર્ષ થયા છતાં મધુનગરના ગરીબોને આ આવાસો હજુ સુધી મળ્યા નથી.આ આવાસ માટે મેયરની વર્ષ 2023માં મુલાકાત કરી હતી છતાં પણ તે નિરર્થક નીવડી છે અને હજુ પણ કામ ચાલુ છે. આ વિસ્તારમાં વિકાસ અને સમસ્યા અંગે અમે ભાજપના વૉર્ડ પ્રમુખ ઋષભભાઈ કામદાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેઓએ આ બાબતે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ થાય છે કે આ વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર છે, ત્યારે ચૂંટણીની જાહેરાત વચ્ચે હવે કોણ બાજી મારે છે તે તો આવનાર સમયે જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:05 am

'અમે પાકિસ્તાનમાં રહેતા હોય એવું છે ભાઈ':'25 વર્ષ જૂના ક્વાર્ટર જર્જરિત છે, અમારા કોઈનો જીવ જશે', રસ્તાના ખોદકામ અને પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ-13ના રહીશોએ હૈયાવરાળ ઠાલવી

અમે પાકિસ્તાનમાં રહેતા હોય તેવું છે ભાઈ આ શબ્દો છે રાજકોટના વોર્ડ નંબર 13ના ખોડીયારનગરના સ્થાનિક મહિલાના. જ્યાં 25 વર્ષથી ભાજપના શાસનમાં રસ્તો જ બન્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પીવાનું પાણી બે દિવસે એક જ વખત આવે છે. આરોગ્ય કેન્દ્ર ક્યાંય નથી અને સ્કૂલ તેમજ આંગણવાડી ખૂબ દૂર છે. ગોકુલધામ આવાસ યોજનાના આવાસ જર્જરિત હોવાથી લોકો જીવના જોખમે જીવી રહ્યા છે. આંગણવાડી પાસે જ કચરો, ભારે ગંદકી અને દૂષિત પાણીની સમસ્યા છે. જ્યારે ચંદ્રેશનગર અને મવડી શાક માર્કેટમાં વેપારીઓ માટે પીવાનું પાણી અને શૌચાલય સહિતની સુવિધા નથી. તમામ સમસ્યાઓ વોર્ડ-13ના સ્થાનિકોની છે, જેમણે ભાસ્કરની ટીમે આગામી મનપાની ચૂંટણીને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તેમાં સંભળાવી હતી. 'પીવાના પાણીની પૂરતી સુવિધા નથી મળતી'આ વોર્ડના સ્થાનિક આશાબા પરમારે જણાવ્યું હતું કે, અહીં રોડનું ખોદકામ કર્યું હોવાથી પાઈપલાઇન તૂટી ગઈ છે. જેને કારણે પીવાના પાણીની પૂરતી સુવિધા પણ મળતી નથી. અહીં ગટરના પાણીનો નિકાલ થતો નથી. જેને કારણે રસ્તા ઉપર પાણીના ખાડા ભરાઈ જાય છે. નજીકમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી પણ ખૂબ જ તકલીફ પડે છે જેથી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈને મત આપવાનો થતો નથી. 'રસ્તા ઘણા સમયથી ખોદીને રાખ્યા છે'ખોડિયારનગર વિસ્તારમાં રહેતા નીતાબેન ભટ્ટીએ જણાવ્યુ હતુ કે, દિવ્યાંગ છું તો ખૂબ જ તકલીફ પડે છે. પીવાનું પાણી દરરોજ આવતું નથી. શેરીના રસ્તા ઘણા સમયથી ખોદેલા છે. ઘરની બહાર શાકભાજી લેવા નીકળું તો પણ પડી જાઉં તેવી પરિસ્થિતિ છે. 'આવાસ 25 વર્ષ જૂના અને જર્જરિત'જ્યારે સોનલબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, RMCના ક્વાર્ટરમાં રહીએ છીએ. અહીં ડ્રેનેજની પાઇપલાઇન તૂટેલી હોવાથી સતત ગંદુ પાણી ખૂલ્લામાં વહેતું રહે છે. આંગણવાડી પાસે જ લોકો કચરો ફેંકી જાય છે અને તેની કોઈ સફાઈ કરતું નથી. આવાસ 25 વર્ષ જૂના અને જર્જરિત છે. કોઈક દિવસ આ બિલ્ડીંગ પડશે તો અમારામાંથી કોઈનો જીવ જશે. 'ફરિયાદ કરી તો જવાબ મળ્યો પાણી તો આવું જ આવશે'સ્થાનિક ઉષાબેને જણાવ્યું હતુ કે, મત લેવો હોય ત્યારે બધા આવે છે અને પછી ગરીબ માણસો સામે કોઈ જોતા નથી. દૂષિત પાણી બાબતે ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે પાણી તો આવું જ આવશે હવે શું કરી લેવાનું?. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે અમારું કામ કરે તેને મત આપીશું. શાકમાર્કેટની યોગ્ય સુવિધા મળે તો સારુંજ્યારે ચંદ્રનગર શાકમાર્કેટમાં રેકડી ધરાવતા પ્રવીણ બોરીચાએ જણાવ્યું હતુ કે, અહીં ચંદ્રેશનગર વોકર્સ ઝોનમાં 10 વર્ષથી રેકડી રાખી શાકભાજીનું વેચાણ કરીએ છીએ અને અહીં 300 નાના વેપારીઓની રેકડી છે. અહીં શૌચાલયની સુવિધા નથી. ચોમાસામાં કીચડ થઈ જાય છે. જેથી અહીં બ્લોક નાખી દે તો સારું. આ ઉપરાંત અહીં શેડ બનાવી આપવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બાબતે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરેલી છે. અમે દર મહિને રૂ.1000 રુપિયા આપીએ છીએ પરંતુ અહીં કોઈ જ સુવિધા નથી. 'અમે પાકિસ્તાનમાં રહેતા હોય એવું છે ભાઈ'ખોડિયારનગરના સ્થાનિક ભાવનાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાણી અને રોડની સમસ્યા છે. કોઈ જવાબ દેતા નથી. કઈ કઈ ને થાકી ગયા પરંતુ આ લોકો નાક અને કાન વગરના નકટા છે. થોડા સમય પહેલા શેરીમાં કપચી અને મોરમ નાખી ગયા છે. જેથી અમારા છોકરાઓ અને બહેનો હેરાન થાય છે. કોર્પોરેટરો દેખાતા જ નથી મતદાન આવશે એટલે દોડીને આવશે. અહીં વિકાસ જ થયો નથી અને જો વિકાસ થયો હોય તો અમારી આવી હાલત હોય ?.'અમે પાકિસ્તાનમાં રહેતા હોય હોય એવું છે ભાઈ.આખી શેરીએ કોઈને મત જ આપવો જ નથી. મત શું આપે?. 'પ્રચારમાં લોકો કહે છે તમારે આવવાની જરૂર જ નથી'વોર્ડ નંબર 13માં ભાજપમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા યુવાન મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ પ્રચારમાં જઈએ છીએ ત્યારે લોકો કહે છે કે તમારે આવવાની જરૂર નથી. ચાર કમળને મત આપવાની જવાબદારી લોકોએ ઉઠાવી લીધી છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષમાં રસ્તાના કામોની સાથે યુવાનોને રોજગારી કઈ રીતે મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. મોહિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઈન ઈન્ડિયા અને મેઇડ ઇન ઈન્ડિયાનો નારો સાર્થક બનાવવામાં આવશે અને છેવાડાના લોકોના પ્રશ્નો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં બાળકો નાનપણથી સ્કિલફુલ બને તે માટેનું અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્ર આયુષ્માન કાર્ડ ધારકોને રૂ.10 લાખ સુધીની કેન્દ્ર સરકારની ફ્રી સારવાર લોકો સુધી પહોંચાડવામાં આવશે તેમજ રાજકોટની AAIMS નો લાભ આ વોર્ડના દર્દીઓ મેળવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. 'લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે'જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. શાકમાર્કેટના નિર્માણનો પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી લટકતો છે. આ ઉપરાંત મવડી રોડ શાક માર્કેટમાં પણ અગવડતા છે. બાળકો માટેના સારા ગાર્ડન નથી. અહીં સરકારી સ્કૂલો છે પરંતુ ત્યાં બાળકોના ભણતર માટેની કોઈ સારી વ્યવસ્થા નથી. આ ઉપરાંત આંબેડકરનગર અને ખોડીયારનગરમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ વખત રોડ બન્યો નથી. તેમણે જણાવ્યું કે, લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. છેલ્લા 25 વર્ષથી ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે. ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે.

દિવ્ય ભાસ્કર 20 Apr 2026 12:05 am

સમસ્ત પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 'વડીલ વંદના-2' કાર્યક્રમ:ગંગા તીર્થ યાત્રા હરિદ્વાર ખાતે સંપન્ન થયેલ 'શ્રીમદ્દ ભાગવત કથા બદલ દાતાઓનું બહુમાન

સમસ્ત પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 'વડીલ વંદના-2' અંતર્ગત આયોજિત 'ગંગા તીર્થ યાત્રા' અને હરિદ્વાર ખાતે સંપન્ન થયેલ 'શ્રીમદ્દ ભાગવત કથા'ની સફળતાના ઉપલક્ષમાં પાટણ ખાતે 'દાતા સન્માન અને આભાર દર્શન સમારોહ' યોજાયો હતો. આ કાર્યક્રમ મોતીશા દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાના સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 'વડીલ વંદના-2' પ્રોજેક્ટ હેઠળ હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રા અને પાવન ગંગા તટે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન નિર્વિઘ્નપણે સફળ રહ્યું હતું. આ યાત્રા અને કથાના સમાપન બાદ તેના પ્રસાદ રૂપે સહયોગી બનેલા દાતાઓ માટે આ આભાર દર્શન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કથા વક્તા રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કમિટી દ્વારા શાસ્ત્રીજીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં કથાના મુખ્ય યજમાન તરીકે મહેન્દ્રભાઈ જયતીભાઈ પટેલ (માનસી પરિવાર) રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય યજમાન સહિત વિવિધ ઉત્સવો, ભોજન સેવા અને યાત્રામાં આર્થિક તેમજ અન્ય સહયોગ આપનાર તમામ દાતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહના ભોજન દાતા તરીકે રમેશ ભગવાન પટેલ પરિવાર અને જેઠા કાંતિ પટેલ પરિવાર (બળિયાપાડો) રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક ત્રિવેદી અને યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ લેઉવા પાટીદાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:36 pm

નવસારીમાં AAPને ઝટકો:AAPના શહેર પ્રમુખ સહિતના 10 હોદ્દેદારો ભાજપમાં જોડાયા, ચૂંટણી પહેલા ગણિત બગડ્યું

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. શહેરના 10 જેટલા મુખ્ય હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) માં પ્રવેશ કર્યો છે. આ ઘટનાથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા AAP ના રાજકીય સમીકરણો પર અસર પડી શકે છે. AAP ના પૂર્વ શહેર પ્રમુખ સહિત સંગઠનના 10 પાયાના હોદ્દેદારોએ પક્ષ છોડ્યો છે. જલાલપોર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ તમામ કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 27 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારો પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે ત્યારે જ સંગઠનના મુખ્ય હોદ્દેદારોના પક્ષપલટાથી AAP ની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સંગઠનમાં થયેલું આ ભંગાણ AAP માટે ચૂંટણીમાં મોટું નુકસાન સાબિત થઈ શકે છે. મહત્વના કાર્યકર્તાઓએ એકસાથે પાર્ટી છોડતા નવસારીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નબળી પડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:31 pm

ઇસ્લામ ક્યારેય નહીં છોડીએ, તમે ગમે એવા કાયદા બનાવો:બંગાળમાં 11 સીટ પર લડું તો 'વોટ કટુવા' કેમ?, શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે: ઔવેસી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમ (AIMIM) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પણ ઇસ્લામને છોડવા વાળા નથી. યુનિફોર્મ સિવિલ કોડ પર સવાલસુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો કે, તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો? ઓવૈસીએ કહ્યું કે, આ સંવિધાનની કલમ ૨૫ (Article 25) વિરુદ્ધ છે. બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી. તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે. ઓવૈસીએ હૂંકાર કરતા કહ્યું કે, તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ. લિવ-ઇન રિલેશનશિપના કાયદા પર કટાક્ષગુજરાતમાં લાવવામાં આવેલા નવા કાયદા પર કટાક્ષ કરતા ઓવૈસીએ લિવ-ઇન રિલેશનશિપના રજીસ્ટ્રેશન મુદ્દે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે, તમે કલ્ચરની મોટી વાતો કરો છો, પણ શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે? જો આવા સંબંધોથી બાળક પેદા થાય તો તેને કોનું નામ આપશો? અબ્બાનું કે અમ્માનું? તેઓએ ભાજપને નૈતિકતાના મુદ્દે ઘેરીને પૂછ્યું કે શું આનાથી સમાજનું ભલું થશે? મિલકતમાં દીકરીના હક અંગે સ્પષ્ટતાસરકાર દ્વારા દીકરીઓના મિલકત અધિકાર અંગે કરવામાં આવતા પ્રચારનો જવાબ આપતા ઓવૈસીએ જણાવ્યું કે, મુસ્લિમ દીકરીઓને પિતાની મિલકતમાં હક નથી મળતો તેવી વાતો તદ્દન ખોટી છે. ઇસ્લામ દુનિયાનો પહેલો એવો ધર્મ છે જેણે ૧૫૦૦ વર્ષ પહેલાં દીકરીને મિલકતમાં હક આપવાની વાત કરી છે અને આજે પણ મુસ્લિમ દીકરીઓને હક મળે છે. તેઓએ ગુજરાત સરકારના નવા 'વિલ પાવર'ના કાયદાની ટીકા કરતા કહ્યું કે, આનાથી તો દીકરીઓનો હક છીનવાઈ જશે અને દાદાની મિલકતમાં પૌત્રના હક જેવી બાબતો લાદીને તમે મુસ્લિમોના પારિવારિક માળખાને તોડવા માંગો છો. ટ્રિપલ તલાક અને જેલની સજાપીએમ મોદી પર સીધો પ્રહાર કરતા ઓવૈસીએ ટ્રિપલ તલાકના કાયદા પર તર્કબદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે, મોદીજી કહે છે કે ત્રણ વાર તલાક બોલવાથી લગ્ન તૂટતા નથી. તો પછી જે વ્યક્તિએ તલાક બોલ્યા છે તેને જેલમાં કેમ મોકલવામાં આવે છે? જો લગ્ન અકબંધ છે તો તે ગુનો કેવી રીતે થયો? તેઓએ કટાક્ષમાં ઉમેર્યું કે, શું મોદીજી ઈચ્છે છે કે દીકરી બે વર્ષ રાહ જુએ અને જ્યારે તેનો પતિ જેલમાંથી બહાર આવે ત્યારે મોદીજી બેન્ડ-વાજા વગાડીને તેનું સ્વાગત કરે? ‘મોદીજી, સુરત પ્રત્યે પણ ક્યારેક પ્રેમ દર્શાવો’મહિલા અનામત બિલ અને ભ્રૂણ હત્યાના મુદ્દે પ્રહાર કરતા ઓવૈસીએ ગુજરાત સરકારના જ આંકડા ટાંકીને ભાજપને ભીંસમાં લીધું હતું. તેઓએ કહ્યું કે, વિપક્ષ પર ભ્રૂણ હત્યાના આરોપ લગાવતા મોદીજી જાણી લે કે આખા ગુજરાતમાં સૌથી વધુ ભ્રૂણ હત્યા સુરત જિલ્લામાં થાય છે. અહીં ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૮૩૫ દીકરીઓ જન્મે છે. જ્યારે મુસ્લિમ સમાજમાં આ આંકડો ૧૦૦૦ સામે ૯૯૦ થી વધુ દીકરીઓનો છે. તેઓએ સુરતની જનતાને પૂછ્યું કે અસલી પ્રેમ કોણ દર્શાવી રહ્યું છે? ઝીણા અને કોંગ્રેસ પર ઓવૈસીના નિશાનદેશના ભાગલા (પાર્ટીશન) ના ઈતિહાસ પર બોલતા ઓવૈસીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેઓએ જણાવ્યું કે, પાર્ટીશન માટે મુસલમાનો જવાબદાર નહોતા. તે સમયે ૯૦ ટકા મુસ્લિમો પાસે તો વોટ આપવાનો અધિકાર પણ નહોતો. ઝાલિમ ઝીણાએ દેશના બે ટુકડા કર્યા અને તેમાં કોંગ્રેસ પણ તેટલી જ સામેલ હતી. મૌલાના અબુલ કલામ આઝાદના પુસ્તક 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ'નો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ગાંધી અને નેહરુએ ભાગલા રોકવાની મૌલાનાની વિનંતી સ્વીકારી નહોતી. ‘પટેલ અને દલિતોના નેતા હોય તો મુસ્લિમોના કેમ નહીં?’ઓવૈસીએ સુરતના મુસ્લિમોને હાકલ કરી કે તેઓએ પોતાની લીડરશિપ (નેતૃત્વ) ઉભી કરવી પડશે. ભારતમાં પટેલ, ઓબીસી અને દલિત સમાજની પોતાની લીડરશિપ છે, તો મુસ્લિમોની લીડરશિપ કેમ ન હોઈ શકે? તેઓએ કહ્યું કે જો 10 કાઉન્સિલર જીતીને આવશે તો જ વોર્ડમાં વિકાસ થશે, વરસાદી પાણીની સમસ્યા દૂર થશે અને સત્યનો અવાજ ગુંજશે. તેઓએ લોકોને ડર છોડીને પોતાના હક માટે ઊભા થવા આહવાન કર્યું હતું. બંગાળ ચૂંટણી અને 'વોટ કટુવા' ના આરોપ પર વળતો પ્રહારબંગાળ ચૂંટણીમાં 11 બેઠકો પર લડવા બદલ લાગેલા 'બી-ટીમ' ના આરોપોનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું કે, બંગાળમાં કોંગ્રેસ 294, ટીએમસી 294 અને લેફ્ટ 250 સીટ પર લડે છે ત્યારે કોઈને તકલીફ નથી પડતી. પણ જ્યારે 11 સીટ પર ટોપી અને દાઢીવાળો ઓવૈસી લડે છે ત્યારે બધાને પેટમાં દુખાવો ઉપડે છે. તેઓએ પડકાર ફેંક્યો કે જો તમારામાં તાકાત હોય તો બાકીની 270થી વધુ બેઠકો જીતીને ભાજપને હરાવી બતાવો, અમને 11 સીટ પર રોકીને તમારો ડર સાબિત ન કરો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:00 pm

લિંબાયતમાં સી. આર. પાટીલનો હુંકાર:2000થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા, મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર

સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેરના લિંબાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાજરી આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવાનો હુંકાર કર્યો હતો. કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતોચૂંટણી પ્રચારના ભાગરૂપે સી. આર. પાટીલે સૌ પ્રથમ લિંબાયત વિસ્તારના વોર્ડ નંબર-25માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે “ચાય પે ચર્ચા” કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા પાટીલે બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો. સંજયનગર સર્કલ ખાતે સી. આર. પાટીલની હાજરીમાં લિંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓને અધિકાર પ્રાપ્ત થાય એ માટે દિલથી, પ્રામાણિકતા સાથે જે પ્રયત્ન કર્યા હતા એવું લાગતું હતું કે એનું ફળ પ્રાપ્ત થશે અને મહિલાઓને અધિકાર પ્રાપ્ત થશે. સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો મગર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો અને તેના કારણે આજે તમે જોઈ રહ્યા હશો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે 10,000 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો તેમાંથી અંદાજે 5,000થી પણ વધુ મહિલાઓ આ ચૂંટણી લડી રહી છે. આ મોકો મહિલાઓને જે ગુજરાતમાં મળ્યો એ નરેન્દ્ર મોદીના એ વખતના જે એમની મહેનત હતી, એમની જે લગન હતી, એમની જે ઈચ્છાશક્તિ હતી એના કારણે મળ્યો. આ વખતે પણ આપણે જોયું કે પ્રધાનમંત્રી મોદી સાહેબે વિશેષરૂપે વિશેષ સત્ર બોલાવીને મહિલાઓને અધિકાર આપવાની કોશિશ કરી. કોઈને પણ અસંતોષ ના થાય તે માટે એમણે અંદાજે જે બેઠકો વધારી, 273 બેઠકો વધારી તેના કારણે કોઈને પણ અન્યાય નહીં થાય તેની પણ ચિંતા કરી. અમિત શાહ સાહેબે પણ કોઈને પણ અન્યાય નહીં થાય, દરેક રાજ્યની અંદર જે પ્રો-રેટા બેઠકો વધી રહી છે તેના કારણે એમની બેઠકો કેટલી વધી રહી છે એનો વિગતવાર જવાબ એમણે લોકસભામાં આપ્યો. આપણે ક્યાં સુધી મહિલાઓને અન્યાય કરતા રહીશું?પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક પત્ર લખીને પણ સૌને કહ્યું કે આ પાછળનો હેતુ શું છે? કઈ રીતે મહિલાઓને અધિકાર આપવો જોઈએ અને આપણે ક્યાં સુધી મહિલાઓને અન્યાય કરતા રહીશું? મગર કોંગ્રેસ, એસ.પી., ટીએમસી આ બધી જ પાર્ટીઓએ મળીને એનો સખત વિરોધ કર્યો. બહુ જ દુઃખની વાત એ છે કે, ઈન્દિરા ગાંધી મહિલા હોવા છતાં પ્રધાનમંત્રી બન્યા હતા, એમની વહુ સોનિયા ગાંધી, સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા એટલે કે રાહુલ ગાંધીના માતા અને બહેન બંને સાંસદ છે. દરેક પાર્ટીમાં જોશો તો એસ.પી. માં અખિલેશ યાદવ, એમની પત્ની પણ સાંસદ છે, કનિમોઝી પણ સાંસદ છે. ખુદ મમતા બેનર્જી જે કેટલાય વર્ષોથી મુખ્યમંત્રી છે અને પહેલા પણ સાંસદ અને કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા, એમની પાર્ટીએ પણ આ બિલનો સખત વિરોધ કર્યો. મહિલાઓનો અધિકાર છીનવીને ખુશી વ્યક્ત કરી છેખુદ મહિલા હોવા છતાં, મહિલાઓ દ્વારા જે વિરોધ થયો એ આખા દેશે જોયો. જેના કારણે કોઈપણ વિરોધ પક્ષનો સભ્ય ઓછો નહોતો થઈ રહ્યો, સૌને અધિકાર પ્રાપ્ત થઈ રહ્યો હતો. મગર દર વખતની જેમ આ વખતે પણ બિલને પાડી દઈને જે ખુશી એમણે વ્યક્ત કરી, જે રીતે એમણે અવાજો કર્યા, જે રીતે ત્યાં ટેબલ થપથપાવ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી તો મહિલાઓનો અધિકાર છીનવીને એમણે જે ખુશી વ્યક્ત કરી છે એ આખા દેશની મહિલાઓએ, બહેનોએ અને માતાઓએ જોઈ છે. એમને આ ચોક્કસ યાદ રહેશે કે એમને મળવાપાત્ર અધિકાર જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂરી કોશિશ કરીને આ બિલ લાવ્યા હતા, એને પાડી દઈને ખુશ થનારા આ લોકોએ મહિલાઓને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ દેશની મહિલા એમને ક્યારેય માફ નહીં કરે. અને આજે એમની જે સ્થિતિ છે કે પહેલા જ્યારે કોંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ પણ ઉમેદવાર ઉભો રહે તો જીતી જતો હતો, આજે એ લોકો 44 પર આવી ગયા હતા અને અત્યારે કેટલીક બેઠકો 99 થઈ છે, મગર આવનારા દિવસોમાં એમની પાર્ટીનો અસ્ત થઈ જશે એ બિલકુલ નક્કી છે. મહિલા શક્તિ જાગૃત થઈ ગઈ છે, એમના અધિકારને રોકનારી પાર્ટીઓને એ પૂરો જવાબ આપશે એવો મને પણ પૂરો વિશ્વાસ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 10:54 pm

ગુંડાઓ સામે લડવા સારા માણસોને જીતાડો:રાજકુમાર જાટના પિતાએ રાજસ્થાનથી વિડીયો જાહેર કરી શિવરાજગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગોંડલ પંથકમાં ચકચારી બનેલા રાજકુમાર જાટ હત્યા કેસના પિતા રતનલાલ જાટે રાજસ્થાનથી એક વીડિયો સંદેશ જાહેર કરીને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે, તેમણે શિવરાજગઢ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ સખીયાને સમર્થન જાહેર કરી, તેમને વિજયી બનાવવા મતદારોને કરુણ અપીલ કરી છે. ગોંડલ સાથે 30 વર્ષનો નાતો અને પુત્ર ગુમાવવાનું દર્દવીડિયોમાં રતનલાલે ભાવુક થતા જણાવ્યું હતું કે, મેં મારા જીવનના 30 વર્ષ ગોંડલમાં વિતાવ્યા છે. ત્યાંના લોકોએ મને જે પ્રેમ અને ઘર જેવું વાતાવરણ આપ્યું છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. પરંતુ, કમનસીબે કેટલાક ગુંડા તત્વોએ ભેગા મળીને મારા દીકરા રાજકુમારની નિર્મમ હત્યા કરી નાખી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પુત્રની હત્યા બાદ તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને કેસની તપાસ પણ નિષ્પક્ષ રીતે કરવામાં આવી નથી. હાલ તેઓ ગોંડલથી દૂર રાજસ્થાનમાં સ્થાયી થયા છે. રાજુભાઈ સખીયાને ગણાવ્યા 'ન્યાયના રક્ષક'રતનલાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ સક્રિય રાજનીતિ કરવા માંગતા નથી, પરંતુ ગોંડલની જનતા ફરી કોઈ આવી મુસીબતમાં ન ફસાય તે માટે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે રાજુભાઈ સખીયા વિશે વાત કરતા કહ્યું કે તેઓ અત્યંત બહાદુર અને ન્યાયપ્રિય વ્યક્તિ છે. હંમેશા સત્યનો સાથ આપવાની હિંમત ધરાવે છે. ગુંડા તત્વો સામે મજબૂતીથી લડવાની તેમનામાં તાકાત છે. તેમણે કહ્યું, મેં તો મારો દીકરો ખોઈ દીધો છે, પણ હું નથી ઈચ્છતો કે અન્ય કોઈ પિતાએ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડે. જો સારા માણસો સત્તા પર આવશે, તો જ અન્યાય ઓછો થશે. શિવરાજગઢ બેઠકના મતદારોને વિનંતી કરીઆ વીડિયોના માધ્યમથી તેમણે શિવરાજગઢ બેઠકના મતદારોને વિનંતી કરી છે કે, જો ગુંડા તત્વોના ત્રાસમાંથી મુક્ત થવું હોય અને સમાજમાં શાંતિ સ્થાપવી હોય તો રાજુભાઈ સખીયાને મજબૂત બનાવવા અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુંડાઓ સામે લડવા માટે નેતા પાસે નૈતિક તાકાત હોવી જરૂરી છે, જે રાજુભાઈમાં છે. રાજસ્થાનથી આવેલા આ વીડિયો સંદેશાએ શિવરાજગઢ બેઠક પરના ચૂંટણી સમીકરણોમાં નવો વળાંક લાવી દીધો છે, અને લોકોમાં ન્યાય તથા સુરક્ષાના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:52 pm

લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો:પરિવાર અને સમાજમાં લોકો સાસરીમાં પહોંચી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. કાજલના પરિવારજનો સમાજના આગેવાનો સાથે શેરથા ગામ પહોંચ્યાગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદ આજે ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી- PIબાદમાં સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ. જી. દેસાઈએ કહ્યુ કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી. ઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. પોલીસ સ્ટેશનથી ખાલી હાથે પરત ફરેલા પરિવારે હવે આ મુદ્દે સામાજિક સ્તરે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ કાજલ મહેરિયા તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:23 pm

પેરોલફલો સ્કોવડનો જુગારધામ પર દરોડો:બોરતળાવ મફતનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે બાતમીના આધારે બોરતળાવ વિસ્તારના મફતનગર ખાતે રામાપીરના ચોકમાં દરોડો પાડતાં છ શખ્સો ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો હાથકાંપનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપતા તેમજ રૂપિયા 26,020 નો મુદામાલ કબ્જે કરી.તમામ શખ્સો સામે બોરતળાવ પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી વિગતો અનુસાર ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય. તે દરમિયાન પોલીસ સ્ટાફે બાતમી આધારે , શહેરના બોરતળાવ, મફતનગર રામાપરીના ચોકમાં ખુલ્લી જાહેર જગ્યામાં રેડ કરતા 6 શખસો ગોળ કુંડાળુવળી ગંજીપતાના પાનાવડે પૈસાની હારજીતનો હાથકાંપનો જુગાર રમતા જોવા મળ્યા હતા. જેમાં પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી જુગારીઓને કોર્ડન કરતા 6 શખ્સો ઝડપાયા હતા, જેમાં મહેશ મનજીભાઈ ડાભી ઉ.વ 33 રહે.રામાપીરના ચોક પાસે, મફતનગર, બોરતળાવ, મનહર નાનજીભાઇ ખસીયા ઉવ.42 રહે.ખોડીયારચોક, મફતનગર, બોરતળાવ, ઇશ્વર રામજીભાઇ મકવાણા ઉવ.29 રહે.ફીલ્ટરની ટાંકી, મફતનગર, બોરતળાવ, વિશાલ રમેશભાઈ પરમાર ઉવ.22 રહે.રામાપીરના ચોક પાસે, મફતનગર, બોરતળાવ, રઘુ દાનાભાઇ સાટીયા ઉવ.23 રહે.રામાપીરના ચોક પાસે, મફતનગર, બોરતળાવ, વિપુલ જલારામભાઈ દુધરેજીયા ઉવ.39 રહે.ભાથીજી ચોક, મફતનગર, બોરતળાવ ભાવનગર વાળાઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસ જવાનો એ સ્થળ પરથી ગંજીપતા તેમજ રોકડ 26,020 નો મુદામાલ કબ્જે કરી તમામ જુગારીઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:15 pm

રાઈડ્સ ધારકોનું આંદોલન અને પોલીસ સામે દબંગાઈના આક્ષેપો.:તંત્રના વાંકે નાના ચકડોળ ધારકો કડે ચડ્યા, રાજકોટ અગ્નિકાંડ બાદ ધંધો છીનવાતા ભવનાથમાં નાના શ્રમિકોનો રસ્તો રોકી ઉગ્ર વિરોધ; ભવનાથ પોલીસ પર ધમકાવ્યાના આક્ષેપ

ગિરનારની શાંત તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર સામાન્ય રીતે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓના આનંદ-પ્રમોદથી ગાજતું હોય છે, પરંતુ આજના રવિવારે અહીં ભક્તિના બદલે ભારે અરાજકતા, સૂત્રોચ્ચાર અને તંત્ર સામેના આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા મનોરંજનની રાઈડ્સ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેની સીધી અને ગંભીર અસર જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં નાની રાઈડ્સ ચલાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર પડી છે. લાંબા સમયથી ધંધો બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા નાના ધંધાર્થીઓ અને રાઈડ્સ ધારકોએ આજે ધીરજ ગુમાવીને ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કરી દીધો હતો. પોતાના પરિવારનું પેટ ભરવા માટે મથતા આ શ્રમિકોએ તંત્રની અન્યાયી નીતિ સામે સવાલો ઉઠાવી ઉગ્ર આંદોલન છેડ્યું છે, જેમાં ભવનાથ પોલીસની કથિત દબંગાઈ અને ધમકીઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ​આ આંદોલન દરમિયાન નાના ધંધાર્થીઓએ ભવનાથ પોલીસ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.આંદોલનકારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની રોજીરોટી માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે માનવીય અભિગમ અપનાવવાને બદલે 'દબંગાઈ' બતાવી હતી. ધંધાર્થીઓના દાવા મુજબ, પોલીસે તેમને ધમકાવતા એવું પૂછ્યું હતું કે, તમે ક્યારેય પોલીસનો માર ખાધો છે? જો અહીંથી ઊભા નહીં થાવ તો માર ખાવો પડશે.આ વાતથી રોષે ભરાયેલા શ્રમિકોએ પ્રશ્ન કર્યો હતો કે શું પોતાના બાળકો માટે રોજીરોટી માંગવી એ કોઈ ગુનો છે ? શું અમે કોઈ ચોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છીએ કે અમને માર મારવાની ધમકી આપવામાં આવે છે ? નીતાબેન નામના એક મહિલા ધંધાર્થીએ રડમસ અવાજે જણાવ્યું કે તેઓ છેલ્લા બાર મહિનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે તેઓ રજૂઆત કરવા પોલીસ ચોકીએ ગયા ત્યારે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આ સરકારી જગ્યા છે અને અહીં ધંધો કરી શકાય નહીં. નીતાબેનનો આક્ષેપ છે કે પોલીસ તેમને જેલમાં નાખવાની બીક બતાવે છે, જ્યારે તેઓ માત્ર ચકરડી અને નાની રાઈડ્સ ચલાવીને સન્માનપૂર્વક જીવવા માંગે છે. ​બીજી તરફ, 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું કે તેમની પાસે કોઈ મોટા વીજળીથી ચાલતા સાધનો નથી, પરંતુ માત્ર બેટરીથી ચાલતી નાની રાઈડ્સ છે જેનાથી કોઈ જાનહાની થવાનો ખતરો નથી. તેમ છતાં પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી તેમનો ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે. આ ધંધાર્થીઓનો તર્ક છે કે જો રસ્તા પર ખાણી-પીણીની લારીઓ અને અન્ય દબાણોને મંજૂરી મળતી હોય, જેના કારણે વાસ્તવમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તો પછી તેમને સાઈડમાં રહીને ધંધો કરવાની મંજૂરી કેમ નથી આપવામાં આવતી? મોટા ગેમઝોન માલિકોની ભૂલની સજા ગરીબ ફેરિયાઓને કેમ આપવામાં આવી રહી છે તેવો વેધક સવાલ આ પરિવારો કરી રહ્યા છે. ​રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, પરંતુ રસ્તો રોકવાના કારણે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈ ભવનાથ પોલીસનો કાફલો અને પીઆઈ પોતે મેદાનમાં ઉતરી આવ્યા હતા. લાંબી સમજાવટ અને પોલીસ સાથેની બોલાચાલી બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રવાસીઓ માટે મનોરંજનનું કેન્દ્ર એવું ભવનાથ ગ્રાઉન્ડ હાલમાં વિરોધનું કેન્દ્ર બન્યું છે. આંદોલનકારીઓની એક જ માંગ છે કે સરકાર અને તંત્ર સુરક્ષાના નિયમો જાળવીને પણ તેમને નાની રાઈડ્સ ચલાવવાની પરવાનગી આપે જેથી તેમના પરિવાર ભૂખે ન મરે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 9:06 pm

રીવાબા જાડેજાએ બોટાદમાં ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર પ્રચાર કર્યો:ઢસા, વાવડી, ગુંદાળામાં સભાઓ યોજી કોંગ્રેસ પર પ્રહારો કર્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બોટાદ જિલ્લામાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદ જિલ્લાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મંત્રી રીવાબા જાડેજાએ ઢસા, વાવડી અને ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકો પર જનસભાઓ સંબોધી હતી. ઢસા અને વાવડી ખાતેની સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમણે કાર્યકરોમાં ઉત્સાહ ભરતા જણાવ્યું હતું કે, ભાજપનો વિકાસ જ આપણી મુખ્ય ઓળખ છે. આ પ્રચાર અભિયાનમાં રીવાબા જાડેજા સાથે ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભોળા રબારી, ઘનશ્યામ વિરાણી, સુરેશ ગોધાણી, ધીરુ ગઢવી, રાધિકાબા પરમાર તેમજ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રીવાબા જાડેજાએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષો પાસે વિકાસની રાજનીતિ નથી, તેમની પાસે ફક્ત નકારાત્મક રાજનીતિ છે. મંત્રીએ ઉમેર્યું કે, રોડ-રસ્તા કે ગટરના કામોમાં ક્યાંક ખામી રહી જાય તો વિપક્ષ તેને પકડીને સોશિયલ મીડિયા પર ચલાવી લોકોની માનસિકતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. વિપક્ષ પાસે ન નેતા છે, ન નિયત છે, ફક્ત નકારાત્મકતા છે. તેમણે ભાજપના કાર્યકરોને આ નકારાત્મક વિચારો અને વાણી વિલાસને તોડવાની જવાબદારી સોંપી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 8:35 pm

બોટાદ માંડવધાર બેઠક પર ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોનો જંગ:16 ગામોનો સમાવેશ, કોળી સમાજના મતોનું પ્રભુત્વ; દૂષિત પાણીની ગંભીર સમસ્યા

બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી માંડવધાર બેઠક રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બેઠક સામાન્ય પુરુષ-મહિલા માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસે રામપરા ગામના કોળી સમાજના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવીયાને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે ભાજપે લીંબાળી ગામના કોળી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન વાલજીભાઈ જાદવને ટિકિટ આપી છે. માંડવધાર બેઠકમાં ઇતરીયા, માંડવધાર, રોજમાળ, કેરાળા, રામપરા, રાયપર, રતનપર, હોળાયા, હરીપર, સખપર સહિત કુલ 16 ગામોનો સમાવેશ થાય છે. અહીં અંદાજે 14 થી 15 હજાર મતદારો નોંધાયેલા છે. આ બેઠક પર કોળી સમાજના મતોનું પ્રભુત્વ સૌથી વધુ છે, જે ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, પટેલ સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, માલધારી સમાજ અને અન્ય સમાજના મતદારો પણ મહત્વના ગણાય છે. સ્થાનિકોના મતે, બેઠક હેઠળના કેટલાક ગામોમાં સીસી રોડ અને સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, ઘણા ગામોમાં હજુ પણ પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને સીસી રોડની સમસ્યાઓ યથાવત છે. ખાસ કરીને માંડવધાર ગામમાં દૂષિત પાણીની સમસ્યા ગંભીર છે. આ ઉપરાંત, ગામના સીમ વિસ્તારમાં આવેલા તૂટેલા ચેકડેમોને ફરીથી બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા સતત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 8:25 pm

રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતિની ઉજવણી:ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો સંધ્યા શણગાર અર્પણ કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતી નિમિત્તે ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ સંધ્યા શણગાર રવિવારે અર્પણ કરાયો હતો. આ સંધ્યા શણગારમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની કલર વડે સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ પ્રતિકૃતિને વૈજનાથ મહાદેવને અર્પણ કરીને મંદિરને શણગારવામાં આવ્યું હતું. આ અનોખો શણગાર તૈયાર કરવા માટે ત્રણ ભક્તોએ ત્રણ કલાકની મહેનત કરી હતી. કાળો, સફેદ, કેસરી, પીળો અને ઓરેન્જ સહિત કુલ ૧૦ કિલો કલરનો ઉપયોગ કરીને ભગવાન પરશુરામજીની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:53 pm

મોરબીમાં પરશુરામ જયંતિ શોભાયાત્રા:રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા

મોરબીમાં રવિવારે પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા. આ શોભાયાત્રા મોરબીના વાઘપરા શેરી નં. 4 માં આવેલા ગાયત્રી મંદિરથી બપોરે 4:00 વાગ્યે પ્રસ્થાન કરી હતી. તે રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને પસાર થઈ હતી. શોભાયાત્રાનું સમાપન નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે થયું હતું. મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૌશલભાઈ હિતેશભાઈ મહેતાને નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી, મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઈ રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:46 pm

ગોધરામાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કાયદો-વ્યવસ્થા જાળવવા ફ્લેગમાર્ચ યોજાઈ

ગોધરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસે ફ્લેગમાર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવો હતો. આ ફ્લેગમાર્ચ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે યોજવામાં આવી હતી. તેમાં પોલીસના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા, જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન, ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ હતો. આ સંયુક્ત ફ્લેગમાર્ચ દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:44 pm

વેરાવળમાં પરશુરામ જયંતી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ:અખાત્રીજે ભવ્ય શોભાયાત્રા, બિલેશ્વર મંદિરે મહાપ્રસાદમાં હજારો ભાવિકો જોડાયા

વેરાવળ શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. અખાત્રીજના પાવન દિવસે બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, ભવ્ય શોભાયાત્રા અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આનાથી સમગ્ર શહેરમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ સુજલ પાઠકની આગેવાની હેઠળ યોજાયેલી આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજ ઉપરાંત વિવિધ સમાજોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીનો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને બહેનો દ્વારા રાસની રમઝટથી વાતાવરણ જીવંત બન્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રાનું ઠેરઠેર ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. વેરાવળ રેયોન ફેક્ટરી નજીક ભાજપ પરિવાર દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન પરશુરામને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધા વ્યક્ત કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાને ભક્તિભાવથી આવકારી હતી. આ અવસરે ભગવાન પરશુરામની વિશેષ પૂજા-અર્ચના, આરતી અને હોમાત્મક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રાનું સમાપન બિલેશ્વર મંદિર ખાતે થયું, જ્યાં સમૂહ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેનાથી ધાર્મિક ઉત્સવ સફળ બન્યો હતો. વેરાવળ બ્રહ્મ સમાજ દ્વારા આ પાવન પર્વ નિમિત્તે ધાર્મિક અને સામાજિક એકતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શિસ્ત અને સામાજિક સૌહાર્દનું સુંદર સંમિશ્રણ જોવા મળ્યું, જેનાથી આ પર્વ યાદગાર બન્યો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:28 pm

હર્ષ સંઘવીનો વલસાડમાં કોંગ્રેસ-AAP પર પ્રહાર:કોંગ્રેસીઓ ગામમાં આવે ત્યારે પૂછજો એક ગરીબ મહિલાને દેશની સંસદમાં જતા રોકવાનું પાપ તેમણે કેમ કર્યું?

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ તાલુકાના સેગવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના 'જનસમર્થન' સંમેલનને સંબોધિત કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા અને મતદારોને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. સંઘવીએ પોતાના પ્રવચનમાં ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના ધરમપુર હોય કે ગ્રામ્ય વિસ્તાર, કોઈ ગરીબ પરિવારની દીકરી સાંસદ બનીને સંસદમાં કેમ ન બેસી શકે? તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે વિપક્ષના લોકો અને કોંગ્રેસીઓ ગામમાં આવે ત્યારે તેમને સવાલ પૂછજો કે એક ગરીબ મહિલાને દેશની સંસદમાં જતા રોકવાનું પાપ તેમણે કેમ કર્યું? ગૃહ રાજ્યમંત્રીએ નારી શક્તિનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓએ મહિલા વિરોધી માનસિકતા છોડવી પડશે. તેમણે જનમેદનીને સંબોધતા કહ્યું કે, આજે કયા મોઢે વિપક્ષીઓ મહિલાઓના મત માંગવા તમારી પાસે આવે છે? આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. સંઘવીએ વિકાસના નામે ભાજપને મત આપવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:16 pm

સિધ્ધપુરમાં બંધ મકાનમાંથી રૂ.1.90 લાખની ચોરી:કે.બી. ટેનામેન્ટમાં તસ્કરોએ રોકડ અને ચાંદીના દાગીના ઉઠાવ્યા

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે કે.બી. ટેનામેન્ટમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કુલ રૂ. 1.90 લાખની મત્તાની ચોરી કરી છે. આ અંગે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિધ્ધપુરના નાયી વાસ વિસ્તારમાં રહેતા યશ હેમંતકુમાર દવેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનું બીજું મકાન સિધ્ધપુર હાઈવે પર રસથાળ હોટલ પાસે કે.બી. ટેનામેન્ટના મકાન નંબર 6 માં આવેલું છે. ફરિયાદીના પિતા રાત્રે આશરે 11 વાગ્યે આ મકાન બંધ કરીને જુના ઘરે સુવા ગયા હતા. બીજા દિવસે સવારે આશરે 8 વાગ્યે યશ દવે અને તેમની બહેન રૂચીબેન મકાનની સાફ-સફાઈ કરવા ગયા ત્યારે ઘરના મુખ્ય લાકડાના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરની અંદર તપાસ કરતા સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરોએ રૂમમાં રહેલા કબાટમાંથી રૂ. 1,70,000 ની રોકડ રકમ અને બીજા રૂમના કબાટમાંથી ચાંદીની સીડી, ઉલીયું, ગાય, દીવીયા તેમજ સિક્કા સહિતના આશરે રૂ. 20,000 ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી. આમ, કુલ રૂ. 1,90,000 ની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સિધ્ધપુર પોલીસે બી.એન.એસ.ની કલમ 331(4) અને 305(a) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયપ્રકાશ રામતેજ શુકલાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:07 pm

પાટણના ઉંદરા ગામે બંધ મકાનમાંથી ચોરી:તસ્કરોએ તિજોરી તોડી ₹25,000 રોકડ, ચાંદીના દાગીના ઉઠાવ્યા

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના બની છે. તસ્કરોએ મકાનનો નકુચો તોડી તિજોરીમાંથી ₹25,000 રોકડ અને ચાંદીના દાગીના સહિત કુલ ₹29,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સરસ્વતી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ચોરીનો ભોગ બનેલા ફરિયાદી ભાણજીભાઈ દેવણભાઈ સુથાર છેલ્લા 15 વર્ષથી પરિવાર સાથે સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરે છે. તેમનું વતનનું મકાન ઉંદરા ગામે આવેલું છે, જે સામાન્ય રીતે બંધ રહે છે. ગત 1 માર્ચ, 2026ના રોજ ભાણજીભાઈ કામ અર્થે વતનમાં આવ્યા હતા અને સાંજે 5 વાગ્યે મકાન બંધ કરીને પરત સુરત ગયા હતા. ત્યારબાદ 17 એપ્રિલ, 2026ના રોજ તેમના પુત્રની પત્ની આશાબેન કોઈ સામાજિક પ્રસંગે ગામમાં આવ્યા ત્યારે તેમણે મકાનના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં અને દરવાજો ખુલ્લો જોયો હતો. આ બનાવની જાણ થતાં ભાણજીભાઈ સુરતથી ઉંદરા ગામે દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ મકાનમાં રાખેલી બે તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા. તિજોરીમાંથી 200-200 ગ્રામની ચાંદીની બે જોડી તોડીયા (કિંમત ₹4,000), ₹25,000 રોકડ અને ચાંદીના સિક્કાઓની ચોરી થઈ હતી. આમ, કુલ ₹29,000ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સરસ્વતી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 305(a), 331(3) અને 331(4) હેઠળ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 7:04 pm

વઢવાણ વોર્ડ 11 ભાજપ ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ:મતદારોને વિકાસના કામો માટે જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વઢવાણ વોર્ડ નંબર 11ના ભાજપના પેનલ ઉમેદવારો રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ, જશુબેન ભરતભાઈ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી અને મહેન્દ્રસિંહ ગોહિલે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આજે ઉમેદવારોએ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી, રોહીદાસનગર, તડકેશ્વર મહાદેવ મંદિર પાસેની શારદા સોસાયટી, સત્યમ પાર્ક, ભીમનગર, વિવેકાનંદ રવિ પાર્ક અને રાશવીર રેસીડેન્સી સહિતની વિવિધ સોસાયટીઓની મુલાકાત લીધી હતી. આ પ્રચાર દરમિયાન, ઉમેદવારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકાસના કામોને વધુ વેગવંતુ બનાવવા માટે વોર્ડ નંબર 11ની પેનલને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. ભાજપના કાર્યકરો, મહિલાઓ અને યુવાનો સહિત વિવિધ વિસ્તારમાંથી આવેલા ટેકેદારો સાથે ઉમેદવારોએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. સમગ્ર ટીમે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને જંગી બહુમતીથી જીતાડવા માટે ફરીથી અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:57 pm

વિકાસ સંકલ્પ સભામાં CM ઉપસ્થિત રહેશે:વડોદરા જિલ્લામાં બે સ્થળોએ જાહેર સભા સંબોધિત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં જોડાશે

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સોમવારે વડોદરા જિલ્લામાં બે સભા સંબોધિત કરશે. જિલ્લામાં તેઓ શેરખી ગામ નજીક તેમજ મંજુસર તેઓ વિકાસ સંકલ્પ સભામાં જોડાઈ સભા સંબોધિત કરશે. ચૂંટણી જાહેર થયા બાદ મુખ્યમંત્રીની પ્રથમ સભાસ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરા જિલ્લામાં આવી રહ્યા છે. તેઓ સૌપ્રથમ કોયલી - શેરખી રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહીને સભા સંબોધિત કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે તેઓ સાવલીના મંજુસર ખાતાએ પહોંચી ત્યાં વિકાસ સંકલ્પ સભા સંબોધિત કરશે. ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાને એક સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો છે. વિવિધ વર્ગના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ સાથે બેઠકમુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બપોરે 3.30 કલાકે એરપોર્ટથી સીધા જિલ્લા કાર્યાલય ખાતે પહોંચશે. કાપુરાઇ ચોકડી ખાતે આવેલા જિલ્લા કાર્યાલય ખાતે તેઓ સમાજના વિવિધ વર્ગના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે. તેઓ સાથેના સંવાદ બાદ મુખ્યપ્રધાન તેઓના નિયત કરેલા કાર્યક્રમ મુજબ આગળ ધપી વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:46 pm

દારૂની હેરાફેરી કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત:રાહુલ ભગોરાને અમરેલી જેલમાં મોકલાયો

સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા એક શખ્સની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા (ઉ.વ. 29) ને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાહુલ ભગોરા રાજસ્થાનમાંથી સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો અને દેશી દારૂનું વેચાણ પણ કરતો હતો. તેના વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં બે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એક અને વડાલી પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ચાર ગુના નોંધાયેલા છે. આટલા ગુનાઓ દાખલ હોવા છતાં, રાહુલ ભગોરાએ પોતાની દારૂની હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી ન હતી. તે સતત ઇંગ્લિશ અને દેશી દારૂનો ધંધો કરતો હતો, જેના કારણે તેની સામે કાયદેસરની કાર્યવાહી અનિવાર્ય બની હતી. આથી, LCB દ્વારા રાહુલકુમાર ભગોરા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત સાબરકાંઠા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી, જેમણે તેને મંજૂર કરી અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો. LCB દ્વારા તાજેતરમાં રાહુલ ભગોરાની પાસા હેઠળ અટકાયત કરી તેને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:38 pm

ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ:86 હજાર ઉમેદવારો હાજર, OMR શીટ વેબસાઈટમાં અપલોડ કરવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની કુલ 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ, 2026ના રોજ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કુલ 371 કેન્દ્રોમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં 86 હજાર ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યેનો ઉમળકો સ્પષ્ટ થયો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ કરાયુંપરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી, જેમાં પેપર-1 “જનરલ સ્ટડીઝ (MCQ)” માટે 200 ગુણ અને પેપર-2 “ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)” માટે 100 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સુરક્ષા અને પારદર્શિતાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા કડક દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો પોતાના જવાબો ચકાસી શકે તે માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સુવ્યવસ્થિત આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વખાણપાત્ર ગણાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:37 pm

હિંમતનગર પાસે બે યુવકો વિદેશી દારૂ સાથે ઝડપાયા:રાજસ્થાનથી લવાતો ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ફરાર

હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાજપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹1,10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે પકડાયેલા અને એક ફરાર આરોપી સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI વી.એમ. ચૌધરીએ જણાવ્યું કે, પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક પલ્સર બાઈક પર બે વ્યક્તિ રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને હિંમતનગર તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાજપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બાઈક દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઈક સવારોએ ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમનો પીછો કરીને બંને યુવકોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન, આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલો અને 123 નંગ બિયરના ટીન મળી કુલ ₹60,340 નો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત, ₹50,000 ની કિંમતનું પલ્સર બાઈક પણ કબજે લેવામાં આવ્યું હતું, આમ કુલ ₹1,10,370 નો મુદ્દામાલ જપ્ત થયો છે. પકડાયેલા આરોપીઓમાં લલિતકુમાર કમલેશભાઈ ડામોર (ઉં.વ. 21) અને દિલીપકુમાર લક્ષ્મણભાઈ ડામોર (ઉં.વ. 21) બંને રહે. ખડકાયા ડબાયચા, તા. નયાગાવ, જિ. ઉદયપુરનો સમાવેશ થાય છે. દારૂ ભરી આપનાર પંકજકુમાર લક્ષ્મણભાઈ ડામોર (રહે. ખડકાયા ડબાયચા, તા. નયાગાવ, જિ. ઉદયપુર) ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:36 pm

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાના લીરેલીરા:જૂનાગઢ કોંગ્રેસે એસ.ટી. બસો પર સરકારી જાહેરાતો મામલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી લેખિત ફરિયાદ

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નો ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે તેમછતાં સરકારી વિભાગો દ્વારા જ તેના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.ટી. નિગમની બસો પર સત્તાપક્ષની જાહેરાતો અને પોસ્ટરો યથાવત હોવા મામલે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. વિવિધ ડેપોની બસોમાં હજુ પણ સરકારની પ્રચારાત્મક જાહેરાતો જોવા મળીજૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કાર્યાલય ઈન્ચાર્જ વી.ટી. સીડા દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ જૂનાગઢ વિભાગીય નિયામક હેઠળ આવતા વિવિધ ડેપોની બસોમાં હજુ પણ સરકારની પ્રચારાત્મક જાહેરાતો જોવા મળી રહી છે. આચારસંહિતા મુજબ કોઈપણ સરકારી મિલકત કે સાધન પર સત્તાપક્ષ કે સરકારનો પ્રચાર કરી શકાય નહીં. તેમ છતાં, જૂનાગઢ વિભાગની બસોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેના 'હર ઘર સ્વદેશી' અભિયાનના પોસ્ટરો ખુલ્લેઆમ પ્રદર્શિત થઈ રહ્યા છે, જે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ઉપલેટા, બાંટવા અને કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓ સામે આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરોકોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે કે, બાંટવા ડેપોની ગોધરા-બાંટવા રૂટની, કેશોદ ડેપોની કેશોદ-ગોધરા-દાહોદ રૂટની એસ.ટી. બસ અને ઉપલેટા ડેપોની ઉપલેટા-દાહોદ પીટોલ બોર્ડર રૂટની એસ.ટી. બસોમાં યોજનાઓના બેનરો અને ફોટાઓ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી, જે સીધો આચારસંહિતાનો ભંગ છે. વી.ટી. સીડાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, એસ.ટી. નિગમને કદાચ એવું લાગતું હશે કે આચારસંહિતા તેમને લાગુ પડતી નથી. તેમણે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે, જૂનાગઢ વિભાગીય નિયામક કચેરી હેઠળના ઉપલેટા, બાંટવા અને કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે. માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એસ.ટી. વિભાગ આ મામલે બેદરકાર હોવાનું કોંગ્રેસનું માનવું છે. કોંગ્રેસે માંગ કરી છે કે, તમામ એસ.ટી. બસોમાંથી તાત્કાલિક અસરથી સરકારી જાહેરાતો અને પોસ્ટરો દૂર કરવાનો આદેશ આપવામાં આવે. લોકશાહીના આ પર્વમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રહીને કામગીરી કરે અને આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરાવે તે જરૂરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, જાગૃત મતદારો દ્વારા આ વિગત તેમના ધ્યાન પર લાવવામાં આવી છે અને જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:35 pm

BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક

US Israel War Ceasefire: ઈરાન અમેરિકા યુદ્ધવિરામની ડેડલાઇન પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી જાહેરાત ખુદ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કરી છે. ઈરાનની કિલિંગ મશીનનો અંત આવે! ટ્રમ્પે કહ્યું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલદી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા 47 વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું.

ગુજરાત સમાચાર 19 Apr 2026 6:34 pm

લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી:ડ્રગ્સ તથા વાહન સહિત કુલ 87,720ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી નશાના નેટવર્કનો પર્દાફાશ કર્યો

હીરા નગરી સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ હાલમાં ‘ક્લીન સિટી’ અભિયાન હેઠળ સઘન કાર્યવાહી કરી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને લાલગેટ વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 26 વર્ષીય એક શખ્સને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ સાંજના સમયે લાલગેટ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસના જવાનો જ્યારે મોતીવાલા પરફ્યુમર્સની ગલી, નાણાવટ અને પંડોળની પોળ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તપાસમાં હતા ત્યારે એક શખસની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ શખસની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેની પાસેથી માદક પદાર્થ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. આ અંગે તુરંત ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેમની પ્રત્યક્ષ હાજરીમાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ અને વાહન સહિત કુલ 87,720નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોઝડપાયેલા આરોપીની ઓળખ મોહંમદ અનસ મોહંમદ સાબીર કુરેશી (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે. તે અઠવા વિસ્તારના ખાજા દાના દરગાહ રોડ પર આવેલા પાલ કોમ્પલેક્ષમાં રહે છે અને વ્યવસાયે ચિકન વેચવાની દુકાનમાં નોકરી કરે છે. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 17.240 ગ્રામ જેની અંદાજિત બજાર કિંમત 51,720 છે. એક સુઝુકી કંપનીનું એક્સેસ મોપેડ તેમજ એક મોબાઈલ ફોન અને ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી ખાલી પ્લાસ્ટિકની પુશલોક બેગ જપ્ત કરાયેલા ડ્રગ્સ અને વાહન સહિત કુલ 87,720નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આ ડ્રગ્સ સુરતના યુવાધનને નશાના માર્ગે ધકેલવા માટે લાવવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એક્ટ 1985ની કલમ 8(સી), 22(બી) અને 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં અન્ય કોને-કોને સપ્લાય કરવાનો હતો. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના આ નેટવર્કના મૂળ સુધી પહોંચીને તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:30 pm

અલ્પેશ ઠાકોરે વડગામ-પાલનપુરમાં સભાઓ સંબોધી:ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ, કોંગ્રેસના 200 કાર્યકરો BJPમાં જોડાયા

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે. આજે અલ્પેશ ઠાકોરે વડગામ અને પાલનપુરમાં જંગી સભાઓ સંબોધી હતી. આ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ખાસ કરીને ઠાકોર સમાજના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ આ ચૂંટણીમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડી રહ્યું છે. પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અને તેની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગેનીબેન ઠાકોરના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ વિરોધ કર્યો હતો. ઠાકોરે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની માનસિકતા મહિલાઓને આગળ વધવા દેવાની નથી અને મહિલાઓ સામે અન્યાય કરવાની છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે મહિલા આરક્ષણ બિલ લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો, જે તેમની વિચારધારા સ્પષ્ટ કરે છે. આ મુદ્દે ભાજપ ચૂંટણીમાં મહિલાઓના સશક્તિકરણનો એજન્ડા આગળ ધપાવી રહી છે. આ બધા વચ્ચે વડગામમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને કોંગ્રેસના 200થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ જોડાણથી ભાજપને ચૂંટણીમાં વધુ મજબૂતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે રાજકીય આરોપ-પ્રત્યારોપ સાથે સામાજિક સમીકરણોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. વડગામ અને પાલનપુરમાં ભાજપની આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થશે, તે તો આવનારા પરિણામોમાં જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:23 pm

ગોરવાની ખાનગી હોસ્પિટલમાં આગ, 6 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા:ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ બેડ સુધી ફેલાતા દોડધામ મચી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના એક રૂમમાં એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીમાં લાગેલી આગ બેડ સુધી ફેલાઈઆ આગ લાગ્યાની પ્રાથમિક માહિતી મળતાં ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એર કન્ડિશનરમાંથી શરૂ થઈને નીચેના ગાદલા સુધી ફેલાઈ હતી. આ આગ હોસ્પિટલમાં લાગી હોવાથી હાજર સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફ અને ફાયરની સતર્કતાથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ અંગે ટીપી 13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જનરલી એસીમાં આગ લાગી હતી. સાથે બેડના ગાદલામાંઆગ સ્પ્રેડ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દીઓ હાજર નહોતા. અમારા આવ્યા પહેલાં જ 6 પેશન્ટને સેફ્લી નીચે ઉતારી લીધા હતા. 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લેવાતા જાનહાનિ અટકીઆ અંગે હોસ્પિટલના કર્મી આનંદ પટેલે જણાવ્યું કે, એક-દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વીચ ચાલુ કરી ત્યારે સ્પાર્ક થયો અને તણખા સાથે ધુમાડો શરૂ થયો હતો. તરત જ આ રૂમમાં રહેલા દર્દીને બહાર શિફ્ટ કરી દીધા હતા.એસી ચાલુ હોવાથી અને બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ ભેગો થઈ ગયો અને દરવાજામાંથી હોસ્પિટલની અંદર ફેલાયો હતો. સ્ટાફે તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગને કાબૂમાં લાવી લીધી હતી. આ આગમાં કુલ 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા એસી, બે ગાદલા અને એસીની નીચેનું થોડું ફર્નિચર બળી ગયું છે. બાકીના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી, માત્ર ધુમાડાથી રૂમ કાળી પડી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:19 pm

સુરેન્દ્રનગરમાં મતદાર જાગૃતિ અભિયાન:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત સઘન મતદાર જાગૃતિ અભિયાન અને EVM નિદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓમાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. મતદાર જાગૃતિ અભિયાન (SVEEP) દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સક્રિય સહભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અભિયાનના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ તાલુકાઓની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મતદાર જાગૃતિ અંગેની રેલીઓ, આકર્ષક રંગોળીઓ, પ્રેરણાદાયી સ્લોગન, ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે સભાનતા કેળવવામાં આવી રહી છે. વધુમાં, જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીઓના સંકલન હેઠળ ઝોનલ અધિકારીઓ દ્વારા જાહેર સ્થળોએ EVM મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશન દ્વારા સામાન્ય જનતામાં EVM દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા અંગેની મૂંઝવણો દૂર કરવાનો અને પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોથી મતદારોને જાગૃત કરીને આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:16 pm

શક્તિ અને ભક્તિનો સંગમ:CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાને શાસ્ત્રોક્ત વિધિથી પ્રસ્થાન કરાવ્યું, ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત કરાયું

આજે ભગવાન પરશુરામની જન્મ જયંતિના પવિત્ર અવસરે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ અને આસ્થા સાથે ભગવાન પરશુરામની યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પરશુરામ માત્ર શસ્ત્રના જ નહીં પરંતુ શાસ્ત્રના પણ જ્ઞાતાભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રા ગાંધીનગરના વિવિધ માર્ગો પર ફરે તે પૂર્વે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામ માત્ર શસ્ત્રના જ નહીં પરંતુ શાસ્ત્રના પણ જ્ઞાતા હતા. તેમના જીવનમાંથી સામાજિક ન્યાય અને ધર્મના રક્ષણની પ્રેરણા મળે છે. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ પરંપરાગત યાત્રા સમાજમાં એકતા અને સંવાદિતાના સંદેશને મજબૂત બનાવે છે. આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખ અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ પણ યાત્રામાં જોડાઈને ભગવાન પરશુરામના આશીર્વાદ લીધા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ પવિત્ર દિવસે જનતાને શુભકામનાઓ પાઠવી હતી. યાત્રાનો મુખ્ય હેતુ સંસ્કૃતિના વારસાથી અવગત કરાવવાનો ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કેસરીયા ધ્વજ, વાજતે ગાજતે નીકળેલી સવારી અને જય પરશુરામના નાદથી સમગ્ર વાતાવરણ શ્રદ્ધાના રંગે રંગાયું હતું. યાત્રાના માર્ગ પર ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા.જ્યાં પુષ્પવર્ષા કરીને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના બ્રહ્મ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે સમય ફાળવીને યાત્રાને પ્રસ્થાન કરાવી તે સમાજ માટે ગૌરવની બાબત છે. આ યાત્રાનો મુખ્ય હેતુ આવનારી પેઢીને આપણા ધર્મ અને સંસ્કૃતિના વારસાથી અવગત કરાવવાનો છે. આ શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાની જાળવણી માટે ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રુટ મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ પ્રકારની અવરોધ વગર યાત્રા નિર્ધારિત માર્ગો પર સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:15 pm

​ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:111 કુંડી મહાવિષ્ણુ યાગ અને ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

આજે અખાત્રીજ અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢમાં ભક્તિ અને સંગઠનનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર 'જય પરશુરામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાઆ ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 111 કુંડી મહાવિષ્ણુ યાગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ યજ્ઞમાં બ્રહ્મ અગ્રણીઓએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુશોભિત રથ, પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રા પર વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જ્યારે આઝાદ ચોક પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક દ્વારા તેનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ અગ્રણી જયદેવભાઈ જોશીએ આ તકે જણાવ્યું હતું કે, રઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચા ખાસ અમદાવાદથી પોતાની જવાબદારીઓ છોડીને આ પ્રસંગે હાજર રહ્યા તે સમાજ માટે ગૌરવની વાત છે. અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છુંરઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું. બ્રહ્મ સમાજ દ્વારા આટલું સુંદર આયોજન ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમે જૂનાગઢમાં સામાજિક એકતા અને ધાર્મિક શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:02 pm

શેરીમાં બાઈક રાખવાની બાબતે વૃદ્ધા પર હુમલો:સેઢાવાદર ગામમાં રહેતા વૃદ્ધા અને તેના પૌત્રને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી

ભાવનગરના સેઢાવદર ગામના મફતનગર વિસ્તારમાં પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂની તકરારનું પરિણામ એક વૃદ્ધા અને તેમના પૌત્ર પર હુમલાના સ્વરૂપમાં સામે આવ્યું છે. શેરીમાં મોટરસાયકલ રાખવા બાબતે ચાલી આવતા વિવાદમાં એક શખ્સે વૃદ્ધા અને તેમના પૌત્રને માર મારી પથ્થરમારો કરતા વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે વરતેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી વૃદ્ધા ચોથીબેન હરિભાઈ ચભાડના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલા તેમના પૌત્ર બ્રિજેશ સાથે શેરીમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે ગામમાં જ રહેતા બીપીન સાજણભાઈ ચભાડ સાથે ઝઘડો થયો હતો. તે સમયે વૃદ્ધાના પુત્ર રામાભાઈએ બીપીનને ઠપકો આપ્યો હતો, જેની દાઝ આરોપી બીપીને મનમાં રાખી હતી. ઘરે આવીને કર્યો હુમલોતા. 15 એપ્રિલના રોજ જ્યારે વૃદ્ધા ચોથીબેન અને તેમનો પૌત્ર ઘરે હતા, ત્યારે આરોપી બીપીન ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ આવતાની સાથે જ વૃદ્ધા અને તેમના પૌત્ર સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તેમને ઢીકા-પાટુનો મુંઢમાર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ જતાં-જતાં વૃદ્ધાને ધમકી આપી હતી કે “જો ફરી શેરીમાં ગાડી રાખી છે તો જોઈ લઈશ” અને ત્યારબાદ ફળિયામાં પડેલો પથ્થર વૃદ્ધા પર ફેંકતા તેમને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે વરતેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાએ વરતેજ પોલીસ મથકે આરોપી બીપીન સાજણભાઈ ચભાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(1) અને 125 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 6:01 pm

ગોધરા પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવી ખાસ ટ્રોલી:લિફ્ટ વગરની જગ્યાએ સામાન લઈ જવા માટે ઉપયોગી

ગોધરા સરકારી પોલિટેકનિકના મિકેનિકલ વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ 'ઓટોમેટેડ સ્ટેરકેસ ક્લાઈમ્બિંગ ટ્રોલી' તૈયાર કરી છે. આ ટ્રોલીનો મુખ્ય ઉદ્દેશ્ય એવી જગ્યાઓ પર સામાનની હેરફેર સરળ બનાવવાનો છે જ્યાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલી ટ્રોલી સીડી પર ઉપર-નીચે સામાન લઈ જવા સક્ષમ છે. તેમાં ત્રણ-સ્ટાર વ્હીલ સિસ્ટમનો ઉપયોગ થયો છે, જેમાં એક વ્હીલ સીડીને સપોર્ટ કરે છે, બીજું આગળ વધવામાં મદદ કરે છે અને ત્રીજું સંતુલન જાળવી રાખે છે. ટ્રોલીના નિર્માણમાં મુખ્યત્વે ડીસી મોટર, બેટરી, સ્વિચ, ફ્રેમ અને ચેન સ્પોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આશરે ૧૨ થી ૧૩ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ પાંચમા સેમેસ્ટરમાં શરૂ થયો હતો, જેમાં સાહિત્ય સમીક્ષા અને આઈડિયા જનરેશન પર કામ કરાયું. છઠ્ઠા સેમેસ્ટર દરમિયાન તેનું મોડલ પૂર્ણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ પાંચ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં અભિષેક સોલંકીએ લીડર તરીકે જવાબદારી સંભાળી હતી. તેમને ગાઈડ તરીકે નાયર મેમનું માર્ગદર્શન મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:54 pm

રીલના ચક્કરમાં રોડ પર ચક્કાજામ કરતા 4 સામે ફરિયાદ:સંસ્થાના પ્રમોશન માટે થાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન ક્રિએટ કરી અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ સર્જયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો દ્વારા વિવિધ સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. અમદાવાદ શહેરમાં આવાજ એક પેઈડ પ્રમોશન માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રસ્તા પર જામ કરી કાયદાના ધજાગરા ઉડાવતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અકસ્માતનો સીન ક્રિએટ કર્યો!સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર દ્વારા એક સંસ્થાના પેઈડ પ્રમોશન માટે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન ક્રિએટ કર્યો હતો. આ ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહનચાલકોમાં ડરનો માહોલ છવાયો હતો. શું છે વાઈરલ વીડિયોમાં?સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં રસ્તાની વચ્ચોવચ એક થાર અને એક બાઈક પડેલી જોવા મળી રહી છે. એક યુવતી અને ત્રણ યુવકો ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા દેખાઈ રહ્યા છે. વાહનચાલકોમાં ભય પેદા કરી ટ્રાફિકમાં અડચણ ઉભી કરનારાઓ સામે ગુનો નોંધાયોસોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો બાદ પોલીસે એક થાર ફોર-વ્હીલર ગાડી નંબર GJ-12-FF-6115ના ચાલક તથા એક રોડ ઉપર પડેલ મો.સાના ચાલક તથા ત્યાં એડ(જાહેરાત) કરવા ઉભેલ બે અન્ય વ્યક્તિઓ સહિત ચાર સામે ગુનો નોંધી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તમામે ભેગા મળી પોતાના કબ્જાના વાહનો જાહેર રોડ ઉપર સરિયામ ઉભા રાખી અન્ય આવતા જતા વાહન ચાલકોમાં ભય ઉભો કરી ટ્રાફિક અડચણ ઉભી કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:52 pm

આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મેવાણીને વિરોધના કારણે સભાસ્થળ બદલવું પડ્યું, ધંધુકા હત્યાકાંડ મામલે SITની રચના ,અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં

મહિલા અનામત બિલ મામલે કોંગ્રેસ પર પ્રહાર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું મહિલા અનામત બિલનો વિરોધ કરનાર કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું. અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો વિરોધ.. પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી હોવાથી વિરોધ કરાતા મિટીંગ સ્થળ બદલવું પડ્યું..માત્ર એક ઉમેદવાર માટે પ્રચાર કરવો પડ્યો.. બાકીના ત્રણ ઉમેદવાર પ્રચારમાં પણ ના જોડાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં રાજકોટમાં રઘુવંશી સમાજે ભાજપ સામે ‘NOTA’નું શસ્ત્ર ઉગામ્યું..સમાજની 6 ટિકિટની માગ સામે માત્ર 3 ટિકિટ મહિલાઓને આપી.. એક પણ પુરુષ ઉમેદવારને સ્થાન ન મળતા સભા કરી એમએલએ અને સિસ્ટમ સામે વિરોધ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આયોજનના અભાવે રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી..લગ્નસરા, વેકેશન અને ગેસની અછતને કારણે પરપ્રાંતીયોનો વતન જવા ધસારો,.. પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત.. શાહીબાગમાં એક ડોક્ટરને વિલિયમ જોન્સ પિત્ઝામાંથી વાળ નીકળ્યો. તો હાઈકોર્ટના ઓફિસરે ઝેપ્ટો પરથી મગાવેલા પાઉંમાંથી જીવાત નીકળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધંધુકા હત્યાકાંડ મામલે SITની રચના કરાઈ ધંધુકા હત્યાકાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી. બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી.. જે બાદ ટોળાએ આગજની અને તોડફોડ કરી હતી.ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોગ્ય વિભાગમાં બદલીઓ રોકવા પડાવાય છે પૈસા ખેડા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે 30 થી 50 હજાર રુ. પડાવાતા હોવાનો વીડિયો વાયરલ..આરોગ્ય કર્મચારીએ આ આક્ષેપ કર્યા છે. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વાતને રદિયો આપી દીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSIની 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા યોજાઈ . અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિવિધ કેન્દ્રો પર 45 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી ફંડિંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને દિલ્હીથી મળી રહ્યું છે ફંડિંગ..હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો.. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી અસહ્ય ગરમી વચ્ચે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: વેસ્ટન ડિસ્ટર્બન અને સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદ થશે.. તો મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:50 pm

સોમનાથમાં અખાત્રીજે શહીદ વેગડાજી-કાળાજી ભીલને શ્રદ્ધાંજલિ:તેમના બલિદાનની યાદમાં 11 કુંડી યજ્ઞ, બહોળી સંખ્યામાં સમાજજનો ઉમટ્યા

સોમનાથ મંદિર પરિસરમાં અખાત્રીજના પવિત્ર દિવસે શ્રદ્ધા અને દેશભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. મહુવા સ્થિત “સોમનાથ શહીદ વીર વેગડાજી તથા ભીલ કાળાજી ભીલ સ્મૃતિ સંસ્થાન” દ્વારા વીર શહીદોની યાદમાં 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞમાં ભાગ લઈને સૌએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જા અને રાષ્ટ્રપ્રેમની ભાવના છવાઈ ગઈ હતી. દર વર્ષે અખાત્રીજના દિવસે મહુવાથી અનેક પરિવારો પ્રભાસ પાટણ આવી વીર વેગડાજી ભીલ અને કાળાજી ભીલને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જે નવી પેઢીને પણ શૌર્ય અને ત્યાગના મૂલ્યો સાથે જોડે છે. સંસ્થાન દ્વારા સોમનાથ મંદિર પટાંગણમાં શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દર વર્ષે વિશેષ કાર્યક્રમો યોજાય છે. ઇતિહાસ અનુસાર, સોમનાથ મંદિર પર પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા એક આક્રમણ દરમિયાન વીર હમીરજી ગોહિલની આગેવાનીમાં વીર વેગડાજી ભીલએ પોતાના લગભગ 500 ભીલ યોદ્ધાઓ સાથે શત્રુઓ સામે મક્કમ યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં વેગડાજી ભીલએ અંતિમ શ્વાસ સુધી લડી સોમનાથ મંદિરના રક્ષણ માટે શહાદત આપી હતી. તેમની આ શૌર્યગાથા આજે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. વેગડાજી ભીલ માત્ર યુદ્ધવીર જ નહોતા, પરંતુ માનવતા અને પરંપરાના પણ પ્રતિક હતા. ગીર વિસ્તારમાં મચ્છુન્દ્રિ નદી કિનારે તેમનું નિવાસ સ્થાન હતું. તેમણે વીર હમીરજી ગોહિલને આશ્રય આપીને તથા પોતાની પુત્રીનું તેમના સાથે વિવાહ કરીને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે પણ ગીર વિસ્તારમાં તેમના પાળિયા અને ઇતિહાસના અવશેષો તેમની શૌર્યગાથાની સાક્ષી પૂરે છે. આ યજ્ઞ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજમાં દેશપ્રેમ, ત્યાગ અને એકતાનો સંદેશ આપતો કાર્યક્રમ હતો. ઉપસ્થિત સમાજજનોએ શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. અખાત્રીજના પાવન દિવસે યોજાયેલ આ કાર્યક્રમ સોમનાથની ધરા પર શૌર્ય અને સંસ્કૃતિના સંગમનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:36 pm

ગીર સોમનાથમાં ગેરકાયદેસર માછીમારી સામે કાર્યવાહી:ત્રણ બોટ માલિકો સામે ગુના દાખલ, લાયસન્સ વિના ચાલતી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર માછીમારી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દરિયાઈ વિસ્તારમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન વગર બોટ ચલાવી માછીમારી કરતા ત્રણ બોટ માલિકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાના આધારે કરવામાં આવી હતી. ગત 19 એપ્રિલ, 2026ના રોજ એસ.ઓ.જી. ટીમે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ હાથ ધર્યું હતું. કદવાર-હીરાકોટ બંદર નજીક “શકરપીરની મહેરબાની”, “અલી મદદ” અને “યા અલી બરકત” નામની ત્રણ બોટ ગેરરીતિથી સંચાલિત થતી હોવાનું સામે આવ્યું હતું. આ બોટો લાયસન્સ, રજીસ્ટ્રેશન, ઓનલાઇન એન્ટ્રી અને જરૂરી ટોકન વગર દરિયામાં માછીમારી કરી રહી હતી. આ ગેરરીતિ બદલ સંડોવાયેલા બોટ માલિકો/સંચાલકો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા-2020ના નિયમો હેઠળ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. આ કેસમાં આરોપી તરીકે અસલમભાઈ જુમાભાઈ મોવાણા (ઉ.વ. 27), દિલસાદ અયુબભાઈ પટેલીયા (ઉ.વ. 26) અને ફીરોજ જાફરભાઈ મોવાણા (ઉ.વ. 40)ના નામ સામેલ છે. આ ત્રણેય કદવાર-હીરાકોટ બંદરના રહેવાસી છે. આ ઓપરેશન એસ.ઓ.જી. ગીર સોમનાથના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એચ. સુવાના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. એસ.ઓ.જી.ના અન્ય સ્ટાફ કર્મચારીઓએ પણ આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરિયામાં માછીમારી કરવા માટે લાયસન્સ, રજીસ્ટ્રેશન અને ઓનલાઇન એન્ટ્રી ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં કોસ્ટલ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે આવી ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:36 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઉધના રેલવે સ્ટેશને મુસાફરો રઝળ્યા, બેકાબૂ બનતા પોલીસની દંડાવાળી, AAPને દિલ્હીથી ફંડિંગ ને હવાલાનો ખેલ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:25 pm

ન્યુઝીલેન્ડમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી:બાળકોએ સપ્તઋષિ અને સપ્ત ચિરંજીવીના જીવનબોધને વાચા આપી

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અપ્રતિમ તેજના પ્રતીક એવા ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ‘બ્રાહ્મણ સમાજ (ગુજરાતી) ન્યુઝીલેન્ડ’ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન Aucklandના બાલમોરલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તિ, જ્ઞાન અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને પરિવારોએ હાજર રહીને ઉત્સવની શોભા વધારી હતી. નવી પેઢીને શાસ્ત્રોક્ત જ્ઞાનનું ભાથું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ જ્ઞાનવર્ધક સત્રો હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર સાત અમર પાત્રો— અશ્વત્થામા, હનુમાનજી, બલિરાજા, વેદ વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને માર્કંડેય ઋષિ સહિત ભગવાન પરશુરામ એટલે કે ‘સપ્ત ચિરંજીવી’ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સપ્તઋષિઓના જીવન અને તેમના દ્વારા અપાયેલા બોધપાઠને વર્તમાન જીવનમાં કેવી રીતે ઉતારવો જોઈએ, તે અંગે બાળકોએ ખૂબ જ પ્રભાવશાળી વક્તવ્ય (સ્પીચ) આપ્યા હતા. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેને ફોરમભાઇ રાવલ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. મેનેજમેન્ટથી લઈને આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારુ જીવનનો સંગમકાર્યક્રમના દ્વિતીય ચરણમાં સમાજના વિદ્વાન વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેણે શ્રોતાઓમાં નવો વૈચારિક ઉત્સાહ જગાડ્યો હતો. બ્રાહ્મણત્વ અને આધુનિક મેનેજમેન્ટનો સમન્વય બિનલ નાગરે ભગવાન પરશુરામના શસ્ત્ર અને શાસ્ત્રના સંતુલનને આજના ‘લીડરશિપ’ અને ‘મેનેજમેન્ટ’ સાથે સાંકળીને એક અદભૂત વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે સમજાવ્યું કે બ્રાહ્મણ એટલે માત્ર જન્મથી નહીં પણ જે બ્રહ્મને જાણે અને સમાજને જ્ઞાનનો માર્ગ બતાવે તે. આજના કોર્પોરેટ અને સામાજિક યુગમાં પણ ‘શિસ્ત, નિષ્ઠા અને જ્ઞાનનું સંચાલન’ કેવી રીતે પરશુરામ ભગવાનના જીવનમાંથી શીખી શકાય છે, તેના પર તેમણે ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ ભાર મૂક્યો કે બ્રાહ્મણ સંસ્કારો એ વાસ્તવમાં આત્મ-વ્યવસ્થાપન (Self-Management) ની સર્વોત્તમ પદ્ધતિ છે. રાજ શુકલા: સુખ-દુઃખનું સંતુલન અને જીવન જીવવાની કળા રાજ શુકલાએ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી માનવ જીવનના બે અનિવાર્ય ચક્રો સુખ અને દુઃખ વિશે મનની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે; સુખ આપણને આભાર માનતા શીખવે છે, જ્યારે દુઃખ આપણને આત્મમંથન અને ધૈર્યની શક્તિ આપે છે. જીવનની સાચી કળા કોઈ પણ પરિસ્થિતિમાં ‘સ્થિતપ્રજ્ઞ’ રહીને આનંદમય જીવન કેવી રીતે જીવવું, તે અંગે તેમણે ખૂબ જ પ્રેરણાદાયી છણાવટ કરી હતી. તેમણે સુખ અને દુઃખ પરની કવિતાની ઉપસ્થિત લોકોએ ચોતરફથી પ્રસંશા કરી હતી. સપ્ત ચિરંજીવીનું શાશ્વત અસ્તિત્વ ચિંતનભાઇએ આપણા પુરાણોમાં વર્ણવાયેલા ‘સપ્ત ચિરંજીવી’ (સાત અમર પાત્રો)ના અસ્તિત્વ પાછળના રહસ્યો અને તેમના ગુણો વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે, આ સાતેય પાત્રો માનવ સ્વભાવના અલગ-અલગ ગુણોના પ્રતીક છે. આ પાત્રો આજે પણ આપણા વિચારો અને સંસ્કારોમાં કેવી રીતે જીવંત છે અને તેમના જીવનના આદર્શોને વર્તમાન સમયના પડકારો સામે લડવા માટે કેવી રીતે પ્રાસંગિક બનાવી શકાય, તે અંગે તેમણે અત્યંત મનનીય પ્રવચન આપ્યું હતું. નિલય જાની: હનુમાનજીની ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનો મહિમા નિલય જાનીએ રામભક્ત હનુમાનજીના જીવનના ઉદાહરણો આપીને ‘સેવા અને સમર્પણ’ની શક્તિ સમજાવી હતી. તેમણે શ્રોતાઓને જણાવ્યું કે હનુમાનજી માત્ર શક્તિના જ નહીં, પણ બુદ્ધિ અને ચાતુર્યના પણ દેવ છે. તેમની ભક્તિમાં અહંકારનો અભાવ અને સ્વામી પ્રત્યેની જે અગાધ નિષ્ઠા છે, તે દરેક મનુષ્ય માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમના પ્રવચને શ્રોતાઓને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા અને સેવાનો સાચો અર્થ સમજાવ્યો હતો. તાલીમ અને પ્રોત્સાહનબાળકોના પ્રદર્શનને નિખારવા માટે હિમાલય શુકલા દ્વારા સપ્તઋષિઓના જીવન વિશે કેવી રીતે વક્તવ્ય આપવું અને મંચ પર કેવી રીતે રજૂઆત કરવી, તે અંગે સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ તાલીમનું પરિણામ બાળકોના આત્મવિશ્વાસપૂર્ણ પર્ફોમન્સમાં જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે, બાળકોના ઉત્સાહને વધારવા માટે તેમને ઇનામો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક એકતા અને સંસ્કાર સિંચનકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મનુરેવા શિવ મંદિરના મહારાજશ્રી નીરજભાઇએ તેમના આશીર્વચન પાઠવતા ભગવાન પરશુરામના જીવનના આદર્શોને વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા હતા. તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે સમજાવ્યું કે, સામાજિક એકતાનું મહત્વ: મહારાજે જણાવ્યું કે, ભગવાન પરશુરામનું જીવન ન્યાય અને ધર્મની સ્થાપના માટે સમર્પિત હતું. આજના વિખરાયેલા જમાનામાં બ્રાહ્મણ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજમાં ‘એકતા’ હોવી કેટલી અનિવાર્ય છે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સમાજ સંગઠિત હોય છે ત્યારે જ તે પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સંગઠિત શક્તિ: તેમણે પરશુરામજીના ‘પરશુ’ (શસ્ત્ર) અને ‘શાસ્ત્ર’ના સંતુલનને સમજાવતા કહ્યું કે, જ્ઞાનની સાથે સમાજમાં એકબીજા પ્રત્યેનો સહકાર અને સંગઠિત શક્તિ જ આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. બાળકો દ્વારા હનુમાન ચાલીસાના ગાનથી ભક્તિમય વાતાવરણમહારાજની પ્રેરણાથી કાર્યક્રમમાં એક અત્યંત દિવ્ય ક્ષણ ત્યારે આવી જ્યારે હોલના વાતાવરણમાં નાના-નાના બાળકોના મુખે ‘હનુમાન ચાલીસા’ ના પાઠ ગુંજી ઉઠ્યા. નીરજભાઇએ સ્વયં બાળકોને આ પાઠ કરાવ્યા હતા. શુદ્ધ ઉચ્ચારણ અને નિર્દોષ ભાવે ગવાયેલી હનુમાન ચાલીસાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું. આ સત્ર દ્વારા તેમણે સંદેશ આપ્યો કે જો બાળકોને નાનપણથી જ આવા પાઠ અને મંત્રોનું શિક્ષણ આપવામાં આવે, તો તેમનામાં સાહસ અને સંસ્કારના બીજ આપોઆપ રોપાય છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:21 pm

સિગારેટના ભાવ મુદ્દે ખૂની ખેલ ખેલનાર ઝડપાયો:ગાંધીનગરમાં પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો

ગાંધીનગરના સેક્ટર-3A વિસ્તારમાં માત્ર સિગારેટના ભાવ જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં અજાણ્યા શખ્સે પાર્લર ચલાવતા 16 વર્ષીય કિશોર પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં સેકટર 7 પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને ઝડપી લઈ જેલ ભેગો કરી દેવાયો છે. ત્રણેય ભાઈઓ અભ્યાસની સાથે વારા ફરતી પાર્લર ચલાવે છેપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકાના ઠાકર શેરડી ગામના ત્રણ ભાઈઓ સેક્ટર-3A માં આવેલ જલારામ કોમ્પ્લેક્સમાં સોનલ કૃપા પાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ત્રણેય ભાઈઓ અભ્યાસની સાથે વારા ફરતી પાર્લર પર બેસતા હોય છે. સિગારેટ ખરીદવાના ભાવ મુદ્દે ઉગ્ર બોલાચાલી ને બાદમાં લાકડી ફટકારીત્યારે ગઈકાલે ત્રણ ભાઈઓ પૈકીનો 16 વર્ષીય કિશોર પાર્લર પર હાજર હતો. ત્યારે એક્ટિવા લઈને એક અજાણ્યો શખ્સ પાર્લર પર ગયો હતો. બાદમાં સિગારેટ ખરીદવાના ભાવ મુદ્દે તેણે કિશોર સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જેના પગલે મામલો બિચકતા અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈને પ્રથમ લાકડી વડે હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો અને હુમલાખોર ત્યાંથી જતો રહ્યો હતો. ફરી આવીને કિશોર પર છરીના આડેધડ ઘા ઝીંક્યાપરંતુ થોડી જ વારમાં આ શખ્સ છરી લઈને પાછો આવ્યો હતો. અને તને જાનથી મારી નાખવો છે તેમ કહી કિશોર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં કિશોરને શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલઆ ઘટનાની જાણ થતાં જ કિશોરનો મોટો ભાઈ ભોલુ અને અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં લોકોએ પોલીસને ફોન કરતા હુમલાખોર પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે સેક્ટર 7 પોલીસ મથકે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કરાયોઆ બનાવના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને પાર્લર વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણીની સાથે સાથે ટેકનિકલ અને હ્યુમન સોર્સ થકી તપાસ હાથ ધરી સેકટર 3એ ખાતે રહેતા મયંક હસમુખભાઈ પરમારની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દેવાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:19 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપના ઉમેદવારને જોતા જ મહિલા બરાબરની ભડકી, HCના ક્લાસ-1 અધિકારીના પાઉંમાં ફૂગ નીકળી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:15 pm

મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદિત નિવેદન:ધોરાજીના સપેડીમાં પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ કહ્યા, પરિવારજનોને ખ્રિસ્તી તથા મુસ્લિમ ગણાવ્યા

રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલનેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્રનેહરુ-ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહ્યા હતા. ઉદ્ઘાટનમાં વિવાદનો મધપૂડોધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં હરિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશની જનતાને છેતરી છે. પૂર્વ સાંસદે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્ર પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહીને સંબોધતા હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. મંચ પર હાજર નેતાઓની મૌન સંમતિ?આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે હરિ પટેલ આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે મંચ પર ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જેવા જવાબદાર નેતાઓ હાજર હતા. જવાબદાર પદો પર બિરાજમાન આ નેતાઓની હાજરીમાં જ ઇતિહાસના તથ્યોને તોડી-મરોડીને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, કોઈએ તેમને રોકવાનો કે ટોકવાનો પ્રયાસ કર્યો ન હતો. ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયુંચૂંટણીના માહોલમાં ઇતિહાસ અને રાષ્ટ્રીય મહાપુરુષો વિશે કરવામાં આવેલા આવા વિવાદાસ્પદ નિવેદનથી વિપક્ષોને આક્રમક થવાની તક મળી છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનની આકરી ટીકા થઈ રહી છે. પૂર્વ સાંસદે નેહરુ-ગાંધી પરિવારની ધાર્મિક ઓળખ બાબતે જે ટિપ્પણી કરી છે, તેનાથી ભાજપની છબીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 'ડેમેજ કંટ્રોલ' ની કવાયતસૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિવેદન બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં 'ડેમેજ કંટ્રોલ' કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે, જવાબદાર નેતાઓની હાજરીમાં થયેલા આ બફાટથી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:12 pm

મિત્રએ સાચવવા આપેલું હથિયાર વેચવા નીકળ્યો:ઝઘડિયા ચોકડી પાસે પિસ્ટલના સોદા માટે ઉભેલા શખસને પોલીસે રસ્તા વચ્ચે જ દબોચ્યો, દેશી પિસ્ટલ સાથે 19 વર્ષનો યુવક ઝડપાયો

સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો કરનારા તત્વો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ખાસ કરીને 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરના આદેશથી સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઓપરેશન દરમિયાન રાંદેર વિસ્તારમાં પિસ્ટલ લઈને ફરતા એક 19 વર્ષના યુવકને ઝડપી પાડી પોલીસે મોટા નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસ તેજ કરી છે. ઝઘડિયા ચોકડી પાસે ફિલ્મી ઢબે ઓપરેશનબાતમી મળી હતી કે રાંદેર, પીરામીડ આઈકોન બિલ્ડિંગની પાછળ આવેલા શ્રીજીનગરી રોડ પર એક શખસ હથિયાર સાથે કોઈની રાહ જોઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી હતી. જેવો બાતમી મુજબનો યુવક ઝઘડિયા ચોકડી પાસે દેખાયો કે તરત જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. તેની તપાસ કરી લેતા કમરના ભાગે છુપાવેલી દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસ માટે મોટો સવાલપકડાયેલા આરોપી આર્યન વાઘની પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આર્યને જણાવ્યું કે, આ પિસ્ટલ તેની પોતાની નથી પણ સાત મહિના પહેલા તેના મિત્ર નિકુંજે તેને સાચવવા માટે આપી હતી. નિકુંજે કહ્યું હતું કે, તે થોડા દિવસોમાં પરત લઈ જશે, પરંતુ ત્યારબાદ નિકુંજ ગાયબ થઈ ગયો હતો. હથિયાર સાચવવું જોખમી હોવાથી અને પૈસાની જરૂરિયાત ઊભી થતા આર્યન આ પિસ્ટલ વેચવા માટે નીકળ્યો હતો. હવે પોલીસ એ શોધી રહી છે કે આ નિકુંજ કોણ છે અને તેની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું? ચૂંટણી ટાણે પોલીસનો કડક સંદેશસુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2026 દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે ડરનું વાતાવરણ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરનારાઓ સામે આક્રમક કાર્યવાહી ચાલુ રહેશે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ-25(1-b)a અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 5:02 pm

નારી શક્તિ વંદન બિલ રોકાતા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:70 કરોડ મહિલાઓના સપનાઓ પર ઘા, રક્ષા ખડસે અને ભૂપેન્દ્ર પટેલે કર્યો આક્ષેપ

ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસ અને INDI ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી રક્ષા ખડસેએ જણાવ્યું કે, મહિલાઓને 33 ટકા અનામત આપતું આ ઐતિહાસિક બિલ લોકસભામાં પસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે બિલમાં સીમાકંન પછી અમલની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે. મહિલાઓ આ બાબતે આગામી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસની “બે મોઢાની રાજનીતિ” પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, એક તરફ મહિલાઓના હિતની વાતો અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ, દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો. આ સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મહિલાઓ આ બાબતે આવનારી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સંસદમાં બનેલી ઘટના માત્ર એક બિલની હાર નથી પરંતુ, દેશની કરોડો માતા-બહેનોના સપનાઓ પર સીધો પ્રહાર છે. તેમણે કોંગ્રેસ પર પરિવારવાદી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ આગળ વધે તે કોંગ્રેસને સ્વીકાર્ય નથી. મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશેપ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ‘લખપતિ દીદી’ જેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 50 ટકા સુધી મહિલાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે પરંતુ, સંસદ અને વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવાનો માર્ગ કોંગ્રેસે અટકાવ્યો છે. અંતમાં ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશે અને ભવિષ્યમાં ફરીથી આ દિશામાં પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:53 pm

દુબે બન્યો કાળા જાદુનો શિકાર!:ફેન્સે જાડેજાને CSKનો સવાલ પુછ્યો, બાપુ બગડ્યા; ચહલે ‘CUTE’ મોડેલ પર માનહાનીનો દાવો કર્યો

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:42 pm

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ:ભાવનગરમાં અક્ષય તૃતીયાએ રથ પૂજન અને ધ્વજારોહણ, ધાર્મિક વિધિ મહંતના હસ્તે સંપન્ન

ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાથી તૈયારીનો શુભારંભ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે શહેરના સુભાષનગર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન અને ધ્વજારોહણ પૂ. ગરીબરામબાપુ અને મહંત પૂ. રામચંદ્રદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યુંદર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવાની પરંપરા છે, જેની પૂર્વતૈયારીઓ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી શરૂ થઈ જાય છે. પરંપરા મુજબ, પૂરીમાં દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે, જ્યારે અન્ય સ્થળોએ અક્ષય તૃતીયાના દિવસે રથ પૂજન અને મેન્ટેનન્સ તથા શણગારની વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો આરંભ કરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરીને, આજે અક્ષય તૃતીયાના શુભ દિને ભાવનગરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂજ્ય ગરીબરામબાપુ (નાની ખોડિયાર મંદિર) અને મહંત પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ (તપસ્વી બાપુની જગ્યા)ના વરદ હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રથયાત્રાના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધર્મલાભ લેવાની સાથે ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:38 pm

લુણાવાડાના 593મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી:1434માં મહારાજા ભીમસિંહે પાયો નાખ્યો હતો, લુણેશ્વર મહાદેવની પૂજા અને શોભાયાત્રા યોજાઈ

મહીસાગર જિલ્લાના ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અખાત્રીજના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરના આદ્ય દેવ સ્વયંભૂ લુણેશ્વર મહાદેવના મંદિરમાં મહાપૂજા, પાલખી પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બુરહાની બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્થાપનાલુણાવાડા નગરનો પાયો 1434માં મહારાજા ભીમસિંહ દ્વારા નાખવામાં આવ્યો હતો. લૂણનાથ બાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વર મહાદેવની કૃપાથી આ નગરની સ્થાપના થઈ હતી, જે પ્રાચીન સમયમાં 'લાવણ્યપુરી' તરીકે ઓળખાતું હતું. ઉજવણીના મુખ્ય કાર્યક્રમોસ્થાપના દિન નિમિત્તે વહેલી સવારે લૂણેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાલખી પૂજન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું: મહાનુભાવોની ઉપસ્થિતિ: સિધ્ધરાજસિંહ, નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ ડો. કિર્તિ પટેલ, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સહિત પાલિકાના સભ્યો અને અગ્રણી નાગરિકો જોડાયા હતા. શોભાયાત્રાનું આકર્ષણ: બુરહાની બેન્ડની સૂરાવલિઓ સાથે નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. રાજવીઓની દીર્ઘદ્રષ્ટિને યાદ કરાઈશોભાયાત્રા દરમિયાન નગરજનોએ લુણાવાડાના શાસકોના પ્રદાનને અંજલિ આપી હતી. શાસકોએ તે સમયે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા સાથે જે આધુનિક નગરરચના અમલી બનાવી હતી, તેને કારણે આજે પણ લુણાવાડા એક સુવ્યવસ્થિત ઐતિહાસિક વારસો ધરાવે છે. રાજવી પરિવાર અને સ્થાનિક નેતાઓએ નગરજનોને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.નગરની વિશેષતા: 593 વર્ષ પૂર્વે સ્થપાયેલું લુણાવાડા આજે પણ તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:30 pm

મોરબીના કારખાનામાં આગ, માલસામાન બળીને ખાખ:લાતી પ્લોટમાં વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપને મોટું નુકસાન, ફાયર ફાઈટરે આગ કાબૂમાં લીધી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બપોરના સમયે આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટરીનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટું નુકસાન થયું છે. લાતી પ્લોટ શેરી નંબર 6 મેઈન રોડ પર આવેલી 'વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ' નામની ફેક્ટરીના બીજા માળે બપોરે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોતજોતામાં આગ બીજા માળ પર રાખેલા માલસામાનમાં ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં જ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તે પહેલાં ફેક્ટરીમાં રાખેલો કાચો અને તૈયાર માલ તેમજ રો મટિરિયલ સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીના કલર વિભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે બાદ તે સમગ્ર કારખાનામાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:17 pm

વોર્ડ-18માં NCPના ઉમેદવારોની વિવાદાસ્પદ પત્રિકા મુદ્દે હોબાળો:કોમી વૈમનસ્ય ફેલાવવા અને આચારસંહિતા ભંગ બદલ અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને કમિશનરને કરી ફરિયાદ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. વોર્ડ નંબર 18 (લિંબાયત-પર્વત-કુંભારિયા) માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર જૂથ) ના ઉમેદવારો દ્વારા વહેંચવામાં આવેલી એક કથિત વિવાદાસ્પદ પત્રિકાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, વોર્ડ નં. 18 ના NCPના ઉમેદવારો નાસિર ખાન ગુલામ અલી પઠાણ અને શરીફા સુલેમાન શેખ દ્વારા પ્રચાર કાર્ય માટે એક પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે. આ પત્રિકામાં લખાયેલા લખાણો અને સૂત્રોને કારણે શહેરની શાંતિ અને સલામતી જોખમાતી હોવાનો અને આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ મતદાર આપણને વોટ નથી આપતો તો આપણે તેમને કેમ વોટ આપવો?ફરિયાદમાં જણાવ્યા અનુસાર પત્રિકામાં ધાર્મિક નારાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો તર્ક આપતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું છે કે, પવિત્ર ઇસ્લામી નારાઓ ચૂંટણી પત્રિકામાં છાપવાથી તે પત્રિકાઓ જમીન પર કે કચરામાં ફેંકાય છે, જે ધાર્મિક રીતે આસ્થાનું અપમાન છે. વાયરલ થયેલી પત્રિકામાં મતદારોને સંબોધીને લખવામાં આવ્યું છે કે, જો હિન્દુ મતદાર આપણને વોટ નથી આપતો, તો આપણે તેમને કેમ વોટ આપવો? આ ઉપરાંત લઘુમતી સમાજને એક થઈને માત્ર મુસ્લિમ ઉમેદવારોને જ વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારનું લખાણ કોમી વૈમનસ્ય ફેલાવવાનું અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. વિવાદાસ્પદ પત્રિકા છાપનાર સામે કાર્યવાહીની માગગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે, ધર્મના નામે મતો માંગવા અને કોમી ઉશ્કેરણી કરવી એ ચૂંટણી પંચના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આ વિવાદાસ્પદ પત્રિકા છાપનાર પ્રિન્ટિંગ પ્રેસ અને ડિઝાઇનર સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સમાજમાં વર્ગવિગ્રહ કરાવવાના ઈરાદે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાથી જવાબદારો સામે પાસા અને એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ઉમેદવાર નાસિર ખાન પઠાણ લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિના સભ્ય છે. ફરિયાદમાં તેમને તાત્કાલિક અસરથી આ પદ પરથી દૂર કરવા વિનંતી કરાઈ છે. સુરતની કોમી એક્તાને ખંડિત કરવાનો પ્રયાસકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લિંબાયત-પર્વત-કુંભારીયા, જેમાં NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી), જે પાર્ટી અજિત પવારની છે, એના ઉમેદવાર છે નાસિર અલી ખાન પઠાણ અને શરીફાબેન શેખ. એમને જે બે દિવસથી એમના ડોર-ટુ-ડોર પ્રચારમાં પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે, જે હિન્દીમાં લખાણ છે, એમાં હિન્દુ-મુસ્લિમનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ‘મુસ્લિમો જાગો અને મુસ્લિમોને મત આપો, હિન્દુ આપણને મત આપતા નથી હિન્દુઓને ના આપો’ અને ‘નારે તકબીર અલ્લાહુ અકબર’. એમ કરીને જે પત્રિકા છે એ સુરત શહેરની કોમી એકતા, શાંતિ, અખંડિતતાને ખંડિત કરવાનો એમનો પ્રયાસ છે. આ પત્રિકાને કારણે એકબીજા સમાજ પ્રત્યે વૈમનસ્ય ઊભું થશે, વર્ગવિગ્રહ થવાનો ભય છે. અને આવી કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ આવી રીતે ડોર-ટુ-ડોર પ્રચાર કરવા નીકળે ને આવી પત્રિકા જે વિતરણ કરે છે, એ જ્યારે જમીન પર કે કચરામાં પડે છે ત્યારે મુસ્લિમ સમાજની પણ એમાં ‘નારે તકબીર અલ્લાહુ અકબર’ લખ્યું છે એટલે લાગણી દુભાય સ્વાભાવિક છે. એટલે એ બાબતની જાણ મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. કોમી વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપો અંગે કાર્યવાહી કરવા સૂચના આપીમારી વિનંતી છે કે સરકાર, ચૂંટણી અધિકારી આમાં તાત્કાલિક અસરથી તપાસ કરીને આ ઉમેદવારો, આ પત્રિકા છાપવાના ડિઝાઇનર, આ પત્રિકા છાપનાર પ્રિન્ટર અને એમાં જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલ હોય એ તમામની સામે કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરે, પાસા હેઠળ કાર્યવાહી કરે. અને આ જે સામાન્ય ચૂંટણીમાં જે બેઠકો છે, એમાં એક આદિવાસી સ્ત્રીની અનામત બેઠક છે એટલે એમની માનસિકતા આદિવાસી વિરોધી પણ છે એ એમને સાબિત કર્યું છે, એટલે એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગણી છે. આ મામલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા પોલીસ કમિશનરને સત્તાવાર પત્ર પાઠવી તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ અરજદાર અસલમ સાયકલવાલાની રજૂઆતને ગંભીરતાથી લઈ, આદર્શ આચારસંહિતાના ભંગ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપો અંગે નિયમોનુસાર સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તટસ્થ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે આ કેસમાં થયેલી કાર્યવાહીનો અહેવાલ પણ તાત્કાલિક રજૂ કરવાનો રહેશે, જેનાથી હવે વિવાદાસ્પદ પત્રિકા વહેંચનાર ઉમેદવારો સામે કાયદાનો શિરોપાવ તોળાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:16 pm

અમરેલીમાં સિંહણ ટ્રેકર પર તૂટી પડી:પાંજરામાંથી મુક્ત કરતાં જ 'લક્ષ્મી' હિંસક બની; ઘાયલ વનકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિંહોના સ્વાસ્થ્ય માટે વન વિભાગની ડી-વોર્નિંગ કામગીરીવન વિભાગ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં સિંહોની સુરક્ષા અને માનવ-સિંહ સંઘર્ષના બનાવો ટાળવા માટે 'ડી-વોર્નિંગ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ઓપરેશન અંતર્ગત સિંહોને રેસ્ક્યુ કરી તેમના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, જેથી વનરાજ વધુ તંદુરસ્ત રહી શકે. આ વાર્ષિક રક્ષણાત્મક કામગીરીના ભાગરૂપે જ સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ ચાલી રહી હતી. મુક્તિ સમયે ગભરાયેલી સિંહણનો અચાનક હુમલોસિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી ત્યારે તે શાંતિથી જવાને બદલે અચાનક પાછી ફરી હતી અને તીવ્ર ઝડપે દોટ મૂકી ટ્રેકર નકાભાઈ રામ પર તૂટી પડી હતી. નિષ્ણાતોના મતે, રેસ્ક્યુ બાદ સિંહણ તણાવમાં હોવી, પોતાની જાત પર ખતરો અનુભવવો અથવા પોતાના પ્રદેશની રક્ષા કરવાની આક્રમક વૃત્તિને કારણે આ પ્રકારનો હુમલો કર્યો હોઈ શકે છે. માનવોથી પરિચિત 'લક્ષ્મી' સિંહણનું આક્રમક વલણહુમલો કરનાર આ સિંહણ વન વિભાગના ચોપડે 'લક્ષ્મી' તરીકે ઓળખાય છે. 'લક્ષ્મી' સામાન્ય રીતે માનવ હાજરીથી પરિચિત હોવા છતાં, તેણે કરેલા આ હુમલાથી વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિકોની આસપાસ અવારનવાર વિચરણ કરતી હોવા છતાં, તે આખરે એક વન્ય પ્રાણી હોવાથી તેની આક્રમકતાએ સૌને ચોંકાવી દીધા છે. ઈજાગ્રસ્ત ટ્રેકરની સારવાર અને સાવચેતીના આદેશઆસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) વિરલ સિંહ ચાવડાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ડી-વોર્નિંગ પ્રક્રિયા દરમિયાન સિંહણને મુક્ત કરતી વેળાએ આ દુર્ઘટના ઘટી હતી. હાલ ઈજાગ્રસ્ત ટ્રેકરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સ્ટાફને વધુ સાવચેત રહેવા સૂચના આપી છે. રાજુલા પંથકમાં દીપડાનો આતંક અને સર્ચઉલ્લેખનીય છે કે, રાજુલા તાલુકામાં માત્ર સિંહ જ નહીં પણ દીપડાનો ભય પણ વધ્યો છે. ૩ દિવસ પહેલા જ નવા આગરિયા ગામ નજીક એક દીપડાએ ૨ વ્યક્તિઓ પર હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ અને સ્કેનિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:09 pm

સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો:SOGએ ₹2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બેની ધરપકડ; જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝથી આવ્યો

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી ભેળસેળયુક્ત અમુલ ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની વ્યૂહાત્મક કાર્યવાહીરાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડાની વિગત અને મુદ્દામાલપોલીસે સૌપ્રથમ મહેતા માર્કેટમાં આવેલી 'હેત્વી સેલ્સ' નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનદાર પ્રિતેષ હસમુખ લાલાણી (રહે. રતનપર) પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી 'જે.સી. એન્ડ કંપની' માંથી મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે જે.સી. એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી 'અનન્યા' કંપનીના બોક્સમાં પેક કરેલા 'અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેજ' લખેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ શકાણી અને જયેશ ચંદુલાલ શકાણીની અટકાયત કરી હતી. જપ્ત કરાયેલો મુદ્દામાલ અમુલ ઘીના ડબ્બા (22 નંગ): ₹2,20,000 મોબાઈલ ફોન (2 નંગ): ₹15,000 કુલ મુદ્દામાલ: ₹2,35,000 અમદાવાદ કનેક્શન ખુલ્યુંપકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભેળસેળયુક્ત ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી છે. જનતાને અપીલSOG દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ સફળ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ અને SOG ટીમનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 4:04 pm

અલકાપુરીમાં ઓનલાઈન સટ્ટો રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા:પ્રોજેક્ટર પર IPL મેચ જોઈ સટો રમતા'તા, મોબાઈલ, રોકડ અને વાહનો સહિતનો 2.91 મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં ચાલતી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વડોદરા શહેર પીસીબીએ અલકાપુરી વિસ્તારમાં દરોડો પાડી આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા પાંચ ઈસમોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન સટ્ટો રમતા પાંચ સટ્ટોડિયા દબોચાયાપીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને ટીમને બાતમી મળી હતી કે, અલકાપુરીમાં અરુણોદય સર્કલ પાસે આવેલી અરુણોદય સોસાયટીના એક જૂના મકાનમાં કેટલાક ઇસમો પ્રોજેક્ટર પર આઈપીએલની લાઈવ મેચ જોઈ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા હાર-જીતનો સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી પાંચ ઈસમો ઝડપાઈ ગયા હતા. આ તમામ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી અશોક શિવરામભાઈ ખરાલ (રહે. ગોરવા, વડોદરા), ધર્મેશ ઉર્ફે ગલો રમેશભાઈ કહાર (રહે. નવાપુરા, વડોદરા), પીયુષ ચંપકલાલ તડવી (રહે. સેવાસી ગોત્રી, વડોદરા),સુનિલ છગનભાઈ બારૈયા (રહે. લક્ષ્મીપુરા, વડોદરા), વિજયભાઈ ભીખાભાઈ વાઘેલા (રહે. સયાજીગંજ, વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 2.91 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2,91,720 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ,મોબાઇલ, પ્રોજેક્ટર, વાહનો મળી કુલ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:50 pm

દારૂના બે ધંધાર્થી પર પાસા હેઠળ કાર્યવાહી:જામનગર અને જોડિયાના આરોપીઓને જેલમાં મોકલાયા

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી દારૂના બે ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને બુટલેગરની અટકાયત કરીને તેમને જેલમાં મોકલી દેવાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ સૂચનાઓના અનુસંધાને, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા સહિતની ટીમે અગાઉ પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ દરખાસ્તો તૈયાર કરી હતી. આ દરખાસ્તો પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાએ પાસા વોરંટ જારી કરતા પોલીસે તેની તાત્કાલિક અમલવારી કરી હતી. જામનગરના વિક્ટોરીયા પુલ પાસે રહેતા કિશનભાઇ નાથાભાઇ ગીગડને પાસા હેઠળ અટકાયત કરીને સાબરમતી, અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામના જેઠાભાઈ કરમશીભાઈ જુથરને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફ અને જોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:41 pm

'હવે તો સમજો, લઈ આવો પંજો':સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન

ગુજરાત કોંગ્રેસ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિઝન ડોક્યુમેન્ટની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ, હવે તો સમજો... લઈ આવો પંજો ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો સુધી જવાની છે. નાગરિકોના સ્વપ્ન મુજબ શહેરોના વિકાસ કરવાની કોંગ્રેસ દ્વારા કમિટનમેન્ટ આપવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને પારદર્શનક બનાવવાનું વચનસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કમલમ, કટકી અને કૌભાંડ જ ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કમલમ સુધી ટકાવારી નથી પહોચતી ત્યાં સુધી ટેન્ડર બહાર ન પડતું હોવાનો પણ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું છે કે હવે જે પણ ટેન્ડરની પ્રક્રિયા થશે તે લોકો જોઈ શકે તે રીતે કરવામાં આવશે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા નાગરિકો માટે જાહેર કરવાની પણ કોંગ્રેસ કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રગતિશીલ વિચારધારા સાથે એક એક ગુજરાતીએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સહિયારા પુરુષાર્થ સાથે ગુજરાત વસાવ્યું છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજદિન સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાનિક લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા લોકોના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવતી હતી. સત્તાનો કેન્દ્રીકરણ નહીં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી જે પણ વહીવટ છે જે પણ નિર્ણયો છે જે પણ વ્યવસ્થાઓ છે જે પણ વિકાસ છે એની સંપૂર્ણ સત્તા સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ કહ્યું છે કોંગ્રેસની વિચારધારા પણ રહી છે. લોકોના અભિપ્રાયો મેળવી તૈયાર કરાયું 'કોંગ્રેસનું કમિટમેન્ટ'વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 15 મહાનગરો અને 84 જેટલી નગરપાલિકા વિસ્તારોમાં મતદાન થવાનું છે. જ્યાંથી પ્રજા પોતાના આવનારા પાંચ વર્ષ માટેના પ્રતિનિધિ ચૂંટીને મોકલવાના છે. ત્યારે કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈને અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા છે સૂચનો મળ્યા રજૂઆતો મળી એના આધારે જનતાનો મેનિફેસ્ટો અને કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ગુજરાતના કે વધતા જતા શહેરી વિસ્તારોના આવનારા ભવિષ્ય સાથે અને સારું જીવન ધોરણ સાથે વિકાસ થાય એ કમિટમેન્ટ સાથે વિઝન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં માત્ર વિકાસની સાથે લોકોના સ્વપ્નનું કમિટમેન્ટ હોય તેવું વિઝન કોંગ્રેસનું છે. શાસકો પાસે નાગરિકો જ્યારે હિસાબ માંગે છે ત્યારે ભાજપના નેતાઓ હિસાબ આપી શકતા નથી અને જગ્યા છોડીને ભાગી જાય છે. નાગરિકો ટેક્સ ભરે છે છતાં પણ નાગરિકોને જોઈએ તેવી સુવિધા મળતી નથી. વિઝન જાહેર કરી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ મહાનગરમાં નાગરિકોને બારેમાસ શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. જે લોકો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે અને ટ્રાફિકની સમસ્યા હોય તેનું પણ નિરાકરણ લાવીશું. વરસાદમાં કારણે અનેક પોસ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેથી વરસાદી પાણી ભરાવાનું નિરાકરણ આવે તેવી વ્યવસ્થા કરવાનું કોંગ્રેસનું વિઝન છે. તેમજ વરસાદમાં તબાહી ન થાય તેવું આયોજન કરવાની કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવશે. સરકારી શિક્ષણ અને સારી આરોગ્ય સેવા મળે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. નાગરિકો ગૌરવ સાથે વ્યવસ્થા મેળવી શકે તેવું આયોજન અને તેવું વ્યવસ્થા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. માત્ર કૌભાંડ ચાલતા હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કટકી કમિશન અને કૌભાંડ ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરી રહી છે. જ્યાં સુધી ટેન્ડરનું પેમેન્ટ કમલમ સુધી ન પહોંચે ત્યાં સુધી ટેન્ડર બહાર પાડવામાં આવતુ નથી. સમયાંતરે કમિશનની ટકાવારી પણ વધી જાય છે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા લોકો જોઈ શકે તે રીતે કોંગ્રેસમાં શાસનમાં કરવામાં આવશે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે અનેક દુર્ઘટનામાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યો છે. પારદર્શિકતાની સાથે સાથે કામગીરી કરવાની જવાબદારી કોંગ્રેસ લેશે. જનતાના હાથમાં સત્તા આપવાનું વિઝન પણ અમે રજૂ કરીએ છીએ. સગવડ દરેકને પરવડે તેવું જીવનધોરણ આપવાની કોંગ્રેસનું વિઝન છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં ત્યાં સુધી ડીમોલીશન નહીંનું વચનવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી બુલડોઝર મકાનો પર નહીં ચલાવવામાં આવે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. તેમજ નાના ધંધાર્થીઓને તમામ લોકોને લાઇસન્સ આપીને કાયમી ધંધા વેપાર માટેની જગ્યા આપીશું. શહેરી વિસ્તારમાં મોઘું શિક્ષણ લીધા બાદ પણ કોઈ રોજગારી મળતી નથી. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું અને કાયમી ભરતી થાય તે માટે અમે સંકલ્પ લઈએ છીએ. આખા ગુજરાતમાં શહેરી વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યા છે. તેમજ ગામડાઓમાંથી લોકો શહેરમાં અનેક આશાઓ સાથે આવે છે. જેથી અમે એવી તક આપીશું કે લોકો જે આશા સાથે આવે છે તે પૂરી કરી શકે. જાહેરમાં લૂંટ ચાલે છે અને ચોક્કસ લોકોનો જ વિકાસ થાય છે જેથી કમિટમેન્ટ કરીએ છીએ કે તમામ વિસ્તારનો સરખો વિકાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:39 pm

પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી પૂજન કર્યું

આજે અખાત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરીને નવા પાકની શરૂઆત કરે છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ બળદ ની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કર્યું હતું. અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જે ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ છે. આ દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા બળદો, ઓજારો અને ટ્રેક્ટર સહિતની ચીજવસ્તુઓની પૂજાવિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવે છે. આ પૂજા દ્વારા તેઓ સારા પાક અને સમૃદ્ધ વર્ષ માટે પ્રાર્થના કરે છે. પાટણ જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. પરંપરાગત રીતે હળ-બળદથી ખેતી થતી ત્યારે બળદની પૂજા કરવામાં આવતી હતી. આજે પણ કેટલાક ખેડૂતોએ બળદની પૂજા કરી હતી, પરંતુ મોટાભાગના ખેડૂતોએ આધુનિક પદ્ધતિ અપનાવી ટ્રેક્ટર દ્વારા મુહૂર્ત કર્યું. ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કર્યા બાદ ગોળ અને ધાણા વહેંચવામાં આવ્યા હતા. પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કર્યા હતા. ત્યારબાદ ધરતી માતાની પૂજા કરી લાલ નાડાછડી બાંધી હતી. બળદ અને ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. ખેડૂતોએ આવનારું વર્ષ ખૂબ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:30 pm

નવસારીમાં ચોર AC ચાલુ કરી 6 કલાક આરામ કર્યો:એડ એજન્સીમાંથી 64 હજારની ચોરી કરી ફરાર

નવસારીના જુનાથાણા વિસ્તારમાં એક એડ એજન્સીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક તસ્કરે ચોરી કર્યા બાદ ભાગવાને બદલે ઓફિસમાં જ એર કંડિશનર (AC) ચાલુ કરીને લગભગ 6 કલાક આરામ કર્યો હતો. આ ઘટનામાં કુલ 64,000 રૂપિયાની ચોરી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:26 કલાકે એક નકાબપોશ શખ્સ તાળું તોડીને એડ એજન્સીની ઓફિસમાં પ્રવેશ્યો હતો. તેણે ઓફિસના ડ્રોઅરમાંથી 60,000 રૂપિયા રોકડા અને 10 ગ્રામ ચાંદીની ચોરી કરી હતી. ચોરીનો મુદ્દામાલ હાથ લાગ્યા બાદ, બહારની ગરમીથી બચવા માટે તસ્કરે ઓફિસનું AC ચાલુ કર્યું હતું. તે ખુરશી પર બેસીને આરામ કરતો જોવા મળ્યો હતો. ઓફિસના CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે ચોર રાત્રે 10:26 વાગ્યે પ્રવેશ્યો હતો અને વહેલી સવારે 4:53 વાગ્યા સુધી ઓફિસમાં જ રોકાયો હતો. આશરે સાડા છ કલાક સુધી ACની ઠંડી હવામાં આરામ કર્યા બાદ તે સૂર્યોદય પહેલા શાંતિથી રવાના થયો હતો. ચોરની આ અસામાન્ય મોડસ ઓપરેન્ડીને કારણે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:14 pm

નવસારી: સૌરાષ્ટ્ર ગયેલા મતદારોને પરત લાવવા ભાજપ સક્રિય:હીરા ઉદ્યોગમાં મંદી અને વેકેશનને કારણે મતદારો વતન ગયા; પક્ષો માટે ચિંતાનો વિષય

નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના મતદારોને પરત લાવવા માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો અને તેમના પરિવારો વતન સૌરાષ્ટ્ર પરત ફર્યા છે. આ મતદારોને મતદાન માટે નવસારી લાવવા ભાજપ દ્વારા ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને નવસારી શહેરના વોર્ડ નંબર 1, 2, 3 અને 9માં વસતા સૌરાષ્ટ્રવાસી મતદારો ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 26 એપ્રિલે મતદાન થવાનું હોવાથી, આ મતદારોની ગેરહાજરી રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની છે. નવસારીના જલાલપોર અને શાંતાદેવી રોડ વિસ્તાર હીરા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ સ્થાયી થયા છે. હાલમાં હીરા બજારમાં કામકાજ ઓછું હોવાથી અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં ઘણા પરિવારો વતન પરત ફર્યા છે. વતન ગયેલા મતદારોને પરત લાવવા માટે રાજકીય સંગઠનો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મતદારોને લાવવા-લઈ જવા માટે ખાસ બસો અને ખાનગી વાહનોની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ મતદાનની ટકાવારી જાળવી રાખવાનો અને પક્ષને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ અંગે રાજકીય અગ્રણી અભિષેક શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં મંદી અને વેકેશનના કારણે લોકો વતન ગયા છે તે સાચું છે, પરંતુ મતદારોમાં ઉત્સાહ અકબંધ છે. ભાજપ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દરેક મતદાર પોતાનો કિંમતી મત આપી શકે. અમે મતદારોના સંપર્કમાં છીએ અને તેઓ પણ જાગૃત હોવાથી મતદાન કરવા ચોક્કસ આવશે. વોર્ડ નંબર 3ના ઉમેદવાર દિવ્યકાન્ત પનારાએ ઉમેર્યું હતું કે, અમે દરેક કારીગર અને મતદારનો ફોન દ્વારા સંપર્ક કર્યો છે. પ્રતિસાદ ઘણો સકારાત્મક છે. ઘણા લોકોએ તો સ્વૈચ્છિક રીતે પોતાની બસ કે ગાડીની વ્યવસ્થા કરી છે અને ખાતરી આપી છે કે તેઓ મતદાન કરવા માટે નવસારી જરૂર આવશે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષો હવે ડોર-ટુ-ડોર પ્રચારની સાથે 'વતન પહોંચો' અભિયાન પણ ચલાવી રહ્યા છે. 26 એપ્રિલે આ મહેનત કેટલી સફળ થાય છે તે પરિણામો જ દર્શાવશે, પરંતુ હાલમાં તો રાજકીય પક્ષો માટે આ સ્થિતિ એક પડકાર સમાન બની છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:13 pm

ભરૂચમાં ભાજપની સભા, પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર પ્રહાર:સ્થાનિક ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો, વિકાસ સંકલ્પ વ્યક્ત

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે, અને આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ વેગવાન બની છે. આ માહોલ વચ્ચે, ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને વાગરા વિધાનસભા વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સભા યોજાઈ હતી. સભા પૂર્વે, ડો. પ્રશાંત કોરાટ સહિત ભાજપના આગેવાનોએ ભારેશ્વર મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા અને વિજય તથા વિકાસનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ યોજાયેલી જનસભામાં ભાજપના નેતાઓએ વિકાસના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને મતદારોને સંબોધ્યા હતા. જનસભાને સંબોધતા ડો. પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેને વિધાનસભાની સેમિફાઇનલ માનવામાં આવે છે, તેમાં કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારો કે સ્પષ્ટ આયોજન નથી. તેમણે ઉમેર્યું કે ભાજપે બૂથ લેવલથી પ્રદેશ સ્તર સુધી વિકાસ કાર્યો દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. કોરાટે દાવો કર્યો કે રાજ્યમાં ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા છે. આ સ્થિતિ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોની નબળાઈ દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે દેશની નારી શક્તિ આવા વલણને ક્યારેય માફ નહીં કરે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસની યાત્રા સતત આગળ વધી રહી છે. આ સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના એમડી અજયસિંહ રણા સહિતના અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે, અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:07 pm

ભરૂચમાં વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:10 ટીમો ભાગ લેશે, એકતા વધારવાનો ઉદ્દેશ્ય

ભરૂચમાં સમસ્ત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને સમાજમાં એકતા સ્થાપવાના ઉદ્દેશ્યથી મા મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, નવેઠા દ્વારા આ એક દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લા DSP ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણના ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાળવવા પ્રેરણા આપી હતી. મા મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજી પરમાર સહિતના આગેવાનોએ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટમાં જિલ્લાની કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે, આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાનો છે. આગામી સમયમાં રસપ્રદ મેચો યોજાશે, જેને લઈને રમતપ્રેમીઓમાં આતુરતા છે. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાનો રાજેન્દ્ર સુતરિયા અને કાંતિભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. મનીષ પરમાર અને તેમની ટીમે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 3:04 pm

વટવામાં ભાજપની કેસરિયા પદયાત્રા:ઉમેદવારોએ સાફો પહેરી વિજયના વિશ્વાસ સાથે પ્રચાર કર્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આજે 19 એપ્રિલના રોજ રવિવારે વટવા વોર્ડમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રણછોડ રાયજી મંદિર થઈને વટવા વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. વટવા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારનું લોકોએ સ્વાગત કર્યું હતું અને ઠેર-ઠેર જગ્યાએ ઉમેદવારોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. યાત્રામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ અને વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ જોડાયા હતા. પૂર્વના વિકાસ માટે નેતાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યોવટવામાં છેલ્લા ઘણા ટર્મથી ભાજપ માટે એક ગઢ સમાન રહ્યું છે, તેવા સમયે આ ગઢ જાળવી રાખવા અને વિકાસ વધે તેવો પ્રયાસ ઉમેદવાર કરી રહ્યા છે. ઉમેદવારોએ શહેરના પશ્ચિમની જેમ જ પૂર્વનો પણ વિકાસ થાય તેવો વિશ્વાસ લોકોને અપાવ્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા છેલ્લા 12 વર્ષમાં વટવામાં જે વિકાસ કર્યો છે, તેના આધારે ભવ્ય જીત મેળવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વટવા વિધાનસભામાં વિકાસની હરણફાળ ભરી છે અને આ વિકાસ અવિરત રહેશે. ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યોભાજપના ચારે ઉમેદવારો માથા ઉપર સાફો પહેરી અને પ્રચારમાં નીકળ્યા હતાં. પૂર્વગ્રહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આકરી ગરમીમાં પ્રચારમાં નીકળ્યા હતા. વટવાના અલગ-અલગ વિસ્તારોમાં આ રેલી નીકળી હતી અને ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:59 pm

'શિખા અને તિલકના કારણે મારે નોકરી ગુમાવવી પડી':લેન્સકાર્ટના ડ્રેસકોડના વિવાદ વચ્ચે સુરતના યુવકનો આક્ષેપ, ભારે વિવાદ બાદ કંપનીએ નવી ગાઈડલાઈન જાહેર કરી

લેન્સકાર્ડની ડ્રેસકોડની ગાઈડલાઈનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે સુરતના એક યુવકે આક્ષેપ કરતા કહ્યું છે કે, તેને શિખા અને તિલકના કારણે લેન્સકાર્ટમાંથી નોકરી ગુમાવવી પડી હતી. મહત્વનું છે કે, લેન્સકાર્ડની ડ્રેસકોડ ગાઈડલાઈનના વકરી રહેલા વિવાદ વચ્ચે કંપની દ્વારા માફી માગી લેવામાં આવી છે. હવે કર્મચારીઓ બિંદી અને તિલક કરી શકશે. કંપની દ્વારા નવી ગાઈડલાઈન પણ ઈસ્યૂ કરી દેવામાં આવી છે. તિલક અને શિખાના કારણે નોકરી ગુમાવવી પડી હોવાનો આક્ષેપમૂળ સુરતના રહેવાસી ઝીલ સોઘાસિયાની પસંદગી લેન્સકાર્ટમાં ટ્રેનિંગ માટે થઈ હતી. આ માટે તેને મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યો હતો. ઝીલ એક સનાતની હિન્દુ યુવાન છે અને તે નિયમિતપણે કપાળ પર તિલક ધારણ કરે છે તેમજ માથા પર શિખા (ચોટલી) રાખે છે. આ બંને તેની ધાર્મિક ઓળખ અને આસ્થાના અતૂટ ભાગ છે. ટ્રેનિંગના પ્રથમ દિવસે જ જ્યારે ઝીલ કંપનીના કેમ્પસમાં પહોંચ્યો, ત્યારે મેનેજમેન્ટ અને ટ્રેનર્સ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે કંપનીના 'ગ્રીમિંગ સ્ટાન્ડર્ડ્સ' (દેખાવના નિયમો) મુજબ તેને તિલક ભૂંસવું પડશે અને શિખા કપાવવી પડશે. ઝીલે વિનમ્રતાપૂર્વક સમજાવ્યું કે આ તેની ધાર્મિક માન્યતાઓ છે અને તેનાથી કામમાં કોઈ અવરોધ આવતો નથી. જોકે, આક્ષેપ મુજબ, કંપનીના જવાબદાર અધિકારીઓએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તેને ટ્રેનિંગ ચાલુ રાખવી હોય તો આ ધાર્મિક ચિહ્નો દૂર કરવા જ પડશે. ઝીલ સોઘાસિયાએ પોતાની આસ્થા સાથે સમાધાન કરવાને બદલે સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો. તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો કે તે પોતાના ધર્મનું અપમાન કરીને નોકરી કરશે નહીં. પરિણામે, તેને ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. મને કહ્યું- તિલક અને શિખા નહીં હટાવો તો જોબ નહીં મળે- ઝીલભોગ બનનાર ઝીલ સોઘાસિયાએ જણાવ્યું હતું કે, લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે અને પછી અહીં સુરત એરિયામાં વેસુમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે તિલક અલાઉડ નથી એવું કાંઈ કીધેલું નહીં અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શિખા અને તિલક ચાંદલો છે એ હટાવવો પડશે. જો તમે શિખા નહીં કાપો અને તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટેડ જે ટેટૂ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. વિવાદની વચ્ચે કંપની દ્વારા માફી માગી, નવી ગાઈડલાઈન જાહેર કરીડ્રેસકોડને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે લેન્સકાર્ડ દ્વારા માફી માગવામાં આવી છે. આ સિવાય કંપની દ્વારા એક નવી અને પારદર્શી ઈન્ સ્ટોર સ્ટાઈ ગાઈડ જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને નોકરીના સ્થળ પર પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકો પહેરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. We have heard you. Clearly and openly. Over the past few days, our community and customers have spoken - and we have listened.Today, we are standardizing our In-Store Style Guide and sharing it publicly and transparently: https://t.co/lC8KlLLUZmThese guidelines explicitly and…— lenskart (@Lenskart_com) April 18, 2026 લેન્સકાર્ડની નવી પોલિસીમાં હવે બિંદી, તિલક, સિંદૂર, કલાવા, મંગલસૂત્ર, કડા, હિજાબ અને પાઘડી જેવા આસ્થાના પ્રતીકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે પોતાની ગાઈડલાઈનને સાર્વજનિક અને પારદર્શી બનાવી રહ્યા છે જેથી ગ્રાહકો અને સમાજની ચિંતાઓને દૂર કરી શકાય.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:49 pm

મધ્યપ્રદેશમાં પોલીસ પર હુમલો કરી ફરાર આરોપી ઝડપાયો:પંચમહાલના જંગલમાંથી વોન્ટેડ શૈલેષ જીતુજી ઝડપાયો, MP પોલીસને સોંપાશે

પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશમાં પોલીસ ટીમ પર હુમલો કરી ફરાર થયેલા વોન્ટેડ આરોપી શૈલેષ જીતુજીને ઝડપી પાડ્યો છે. ગોધરા તાલુકા પોલીસે મેરપ ગામના જંગલ વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો. ગોધરા રેન્જ IG વી.વી. ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના હેઠળ, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ગોધરા તાલુકા પોલીસ સક્રિય હતી. આ કાર્યવાહી દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલ અને તેમની સર્વેલન્સ ટીમને ગુપ્ત માહિતી મળી હતી. બાતમી મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપી શૈલેષ જીતુજી મેરપ ગામના જંગલ વિસ્તારમાં છુપાયો હતો. માહિતી મળતા જ ગોધરા તાલુકા પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશ પોલીસ સાથે સંકલન કર્યું. સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું અને આરોપી શૈલેષ જીતુજીને ઘેરીને ઝડપી પાડવામાં આવ્યો. ગોધરા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી શૈલેષ જીતુજીનો કબજો અલીરાજપુરની કઠીવાડા પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:49 pm

નવસારીના દેવલ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ:છઠ્ઠા માળે શોર્ટ સર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં

નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલા દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આજે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના રહીશો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે ફ્લેટમાં હાજર લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગના કારણે ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલ કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું સચોટ કારણ શું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:26 pm

દિલ્હીથી AAPનું સ્થાનિક ચૂંટણી પૂર્વે સુરતમાં ફંડિંગ!, ઇન્કમટેક્સની એન્ટ્રી:હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો, સીસીટીવીના આધારે તપાસ શરૂ

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા 'પોલિટિકલ હવાલા કાંડ'નો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા ચાર મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ તેજ થયો છે. હવાલા નેટવર્ક અને સીસીટીવી ફૂટેજસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર મનીનો ઉપયોગ થઈ રહ્યો છે. તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું છે, જેમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરાફેરી થતી સ્પષ્ટ દેખાય છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નાણાં દિલ્હીથી સુરતના ચોક્કસ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા. પોલીસ હવે આ સીસીટીવીમાં દેખાતા અન્ય શખ્સો અને આંગડિયા સંચાલકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ આખી સાંકળનો પર્દાફાશ થઈ શકે. હિમાંશુ પાહુજાની પૂછપરછ: દિલ્હી સાથેના તારઆ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. હિમાંશુ અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો પરંતુ હાલમાં તે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલો હોવાનું અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની કલાકો સુધી કડક પૂછપરછ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, હિમાંશુ દિલ્હીથી ફંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હતો. જોકે, પૂછપરછ બાદ હાલ તેને મુક્ત કરવામાં આવ્યો છે, પણ તેની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. સુરતના પીપલોદમાં કાર્યરત 'રિસીવર' સિન્ડિકેટદિલ્હીથી જે ફંડ મોકલવામાં આવતું હતું, તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે શખ્સોની હતી. આકાશ મિશ્રા, જે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ (PA) રહી ચૂક્યો છે, તે સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને આ આખું ઓપરેશન ચલાવતો હતો. આકાશ અને અજય તિવારી દિલ્હીથી આવતા ફંડના 'ફાઇનાન્સિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર' તરીકે કામ કરતા હતા. તેઓ આ નાણાં મેળવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચૂંટણીલક્ષી પ્રચાર અને ગેરકાયદેસર ફંડિંગનો ઉપયોગની આશંકાસૂત્રોના જણાવ્યા અનુસાર, હવાલા મારફતે મેળવેલા આ લાખો રૂપિયાનો ઉપયોગ કોઈ કાયદેસરના કામ માટે નહીં, પરંતુ રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો. આ રકમનો ઉપયોગ સ્થાનિક કાર્યકરોને પોષવા, ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર, રેલીઓ અને અન્ય ગુપ્ત પોલિટિકલ ઓપરેશન્સ માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. આ આર્થિક ચેઇન દ્વારા ગુજરાતમાં પાર્ટીના નેટવર્કને મજબૂત કરવા માટે બિનહિસાબી નાણાંનો ધોધ વહેવડાવવામાં આવ્યો હતો, જે આચારસંહિતા અને ઇન્કમટેક્સના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આકાશ મિશ્રા અને અજય તિવારીની ફરી પૂછપરછ થવાની શક્યતાક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે, આકાશ મિશ્રા અને અજય તિવારી માત્ર રિસીવર નહોતા, પણ તેઓ સુરતના સ્થાનિક રાજકારણમાં પણ ઉંડા ઉતરેલા હતા. તેઓ હિમાંશુ માટે અહીં ફંડિંગ એકઠું કરવામાં અને વહેંચવામાં મહત્વની કડી સાબિત થયા છે. આ બંને શખ્સોના સંપર્કમાં સુરતના કયા મોટા ગજાના નેતાઓ હતા, તેની યાદી પણ પોલીસ તૈયાર કરી રહી છે. આગામી દિવસોમાં આ બંનેની ફરીથી ધરપકડ કે કડક પૂછપરછ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઇન્કમટેક્સ વિભાગની એન્ટ્રી: મોટા માથાઓની ઉંઘ ઉડીસુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની ગંભીરતા જોતા આવકવેરા વિભાગને જાણ કરી દીધી છે. પોલીસ હવે નાણાકીય લેવડદેવડના હિસાબો તપાસી રહી છે, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ આ બ્લેક મનીના સ્ત્રોત સુધી પહોંચવા પ્રયાસ કરશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ અને આઈટી વિભાગ ટૂંક સમયમાં સુરતના અનેક મોટા રાજકીય ચહેરાઓને સમન્સ પાઠવી શકે છે. આ તપાસનો રેલો શહેરના અનેક દિગ્ગજ નેતાઓ સુધી પહોંચવાની શક્યતા હોવાથી રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આંતરરાજ્ય તપાસ ટીમની રચના થઈ શકે છેહાલમાં આ કૌભાંડ દિલ્હી-સુરત પૂરતું મર્યાદિત દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસને શંકા છે કે આ જ પ્રકારે ગુજરાતના અન્ય મહાનગરો જેમ કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ હવાલા મારફતે ફંડ મોકલવામાં આવ્યું હોઈ શકે છે. આગામી દિવસોમાં આંતરરાજ્ય તપાસ ટીમની રચના થઈ શકે છે. દિલ્હીના હાઈકમાન્ડના સીધા આદેશથી ચાલતી આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઈમ બ્રાન્ચ હવે ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ડેટાની મદદ લઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:25 pm

મહીસાગરમાં અખાત્રીજે ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા:ચનસર ગામે પરંપરાગત રીતે ધરતી પૂજન; બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવાયો

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પર્વને ખેડૂતો દ્વારા અત્યંત શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને કૃષિ ક્ષેત્રે નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે કરવામાં આવેલી કોઈપણ શરૂઆત અક્ષય ફળ આપે છે. આ પરંપરાને જાળવી રાખીને મહીસાગર જિલ્લાના ચનસર ગામ સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોએ સારા પાક અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ખેતી કાર્યનો વિધિવત પ્રારંભ કર્યો છે. બળદ અને આધુનિક સાધનોનું પૂજનચનસર ગામમાં ખેડૂતોએ પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર ખેતી કાર્ય શરૂ કર્યું હતું. સવારે વહેલા ઉઠીને ખેડૂતોએ પશુધનની સેવા કરી બળદની પૂજા કરી હતી. બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આધુનિક યુગને અનુરૂપ ખેડૂતોએ ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનોની પણ પૂજા અર્ચના કરી હતી. 7 પ્રકારના ધાન્યનું વાવેતરસાધનોની પૂજા કર્યા બાદ ધરતી માતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શુભ મુહૂર્તમાં 7 પ્રકારના ધાન્યનું વાવેતર કરી, ખાતર અને પાણીનું સિંચન કરીને વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોએ આગામી સિઝનમાં મબલખ પાક ઉતરે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંપરા અને આધુનિકતાનો સમન્વયસ્થાનિક ખેડૂત ખેમા પટેલના જણાવ્યા અનુસાર, દર વર્ષે અખાત્રીજના દિવસે વહેલી સવારે બળદને તૈયાર કરી ખેતરમાં લાવવામાં આવે છે. ત્યાં પૂજન વિધિ બાદ અનાજ વાવીને પ્રભુ પાસે સારો વરસાદ અને સારી આવક માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ખેતીમાં નવી ટેક્નોલોજી અને મશીનરીનો વપરાશ વધ્યો છે, તેમ છતાં મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે પણ બળદ આધારિત પરંપરાગત ખેતી જીવંત જોવા મળે છે. આમ, ખેડૂતોએ આસ્થા અને આધુનિકતાના સમન્વય સાથે નવા કૃષિ વર્ષની હર્ષોલ્લાસ સાથે શરૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:07 pm

હનુમાન મંદિર બચાવવા ભાજપના જ ગઢમાં ઊભો કરાયો અપક્ષ ઉમેદવાર:વોર્ડ નં. 11 અડાજણમાં અશાંતધારાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ મેદાને ઉતાર્યો પોતાનો ઉમેદવાર

સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં સ્થિત અડાજણ વિસ્તાર, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ ગણાય છે, ત્યાં આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ગોરાટ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરની આસપાસ અન્ય ધર્મના લોકો દ્વારા કરવામાં આવેલા નવા બાંધકામો અને ફ્લેટની ફાળવણીને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, આ વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધારી પક્ષ કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, હવે આ ગઢના પાયા હચમચી રહ્યા છે અને લોકોએ પક્ષની સામે જ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કર્યો છે. ગોરાટ હનુમાન મંદિર અને અશાંતધારા કાયદાનું કથિત ઉલ્લંઘનચૂંટણીના આ માહોલમાં અડાજણના હનુમાન ચોકમાં મુખ્ય મુદ્દો પાણી કે ગટર નથી, પરંતુ 'અશાંતધારો' છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગોરાટ હનુમાન મંદિરની બિલકુલ અડીને જ અન્ય ધર્મના લોકો માટે મોટા રહેણાંક પ્રોજેક્ટ્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. અશાંતધારાના કાયદા મુજબ, મિલકતની તબદીલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી અને પડોશીઓની સંમતિ જરૂરી હોય છે, છતાં અહીં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો રહીશોનો દાવો છે. આ મુદ્દે સ્થાનિકોએ નાયબ કલેક્ટર સુધી લડત ચલાવી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આસ્થા અને કાયદાના રક્ષણ માટે લોકો રસ્તા પર ઉતર્યા છે. પક્ષોના આશ્વાસનથી કંટાળી સ્થાનિકોએ તરુણ પટેલને ઉમેદવાર બનાવ્યાચૂંટણી નજીક આવતા જ જ્યારે વિવિધ પક્ષના નેતાઓ મતોની અપેક્ષાએ વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે રહીશોએ એક જ શરત મૂકી હતી: અશાંતધારાનું પાલન કરાવો અને મંદિરની ગરિમા જાળવો. જોકે, કોઈ પણ પક્ષ દ્વારા આ બાબતે લેખિત ખાતરી કે મજબૂત આશ્વાસન આપવામાં આવ્યું ન હતું. આથી, વોર્ડ નંબર 11 ના જાગૃત નાગરિકોએ એકઠા થઈને વિસ્તારના જ સ્થાનિક અને ખેતીવાડી સાથે જોડાયેલા તરુણકુમાર પટેલને અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપના આ પરંપરાગત ગઢમાં હવે જનતાના ઉમેદવાર અને પક્ષના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ગોરાટ હનુમાન મંદિરના સંચાલકો અને રહીશોની આરપારની લડાઈમંદિરને બચાવવા અને વિસ્તારની સામાજિક સમતુલા જાળવી રાખવા માટે મંદિરના સંચાલકોએ પણ આ જનઆંદોલનને સમર્થન જાહેર કર્યું છે. હનુમાન ચોક વિસ્તારમાં યોજાયેલી 'ચોપાલ'માં રહીશોએ એકસૂરે જણાવ્યું હતું કે, જે પક્ષ અમારી સંસ્કૃતિ અને સુરક્ષાનું ધ્યાન નથી રાખી શકતો, તેને મત આપવાનો કોઈ અર્થ નથી. આ જ કારણ છે કે વર્ષોથી ભાજપને મત આપતા પરિવારોએ હવે પોતાની જ સેના તૈયાર કરી છે. આ અપક્ષ ઉમેદવાર માત્ર એક વ્યક્તિ નથી, પણ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો સામૂહિક અવાજ બનીને ઉભર્યા છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર અથવા રાજકીય રહેમનજર હેઠળ કાયદાને નેવે મૂકવામાં આવ્યોસ્થાનિક પ્રતિનિધિઓ અને કોર્પોરેટરો સામે લોકોનો ભારે રોષ છે. રહીશોનું કહેવું છે કે જ્યારે અન્ય ધર્મના લોકોના બાંધકામની શરૂઆત થઈ ત્યારે જ જાણ કરવામાં આવી હતી, છતાં મૌન સેવવામાં આવ્યું. અશાંતધારાના વિસ્તારમાં આટલા મોટા પાયે મિલકતોની હેરાફેરી કેવી રીતે થઈ તે એક તપાસનો વિષય છે. લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર અથવા રાજકીય રહેમનજર હેઠળ કાયદાને નેવે મૂકવામાં આવ્યો છે. આ રોષ હવે વોટિંગ મશીન પર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે લોકો હવે પોલા આશ્વાસનોમાં આવવા તૈયાર નથી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 2:07 pm

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું:શા માટે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન? જાણો રેલવે સ્ટેશન પર મુસાફરોની દયનીય સ્થિતિના કારણો

ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન..આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન..ઉનાળું વેકેશન અને લગ્નસરાની સિઝનને કારણે લોકોનો ધસારો વધ્યો છે. તો મિડલ ઈસ્ટમાં ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત છે.ખાવા-પીવાની વ્યવસ્થા ન થતા લોકો વતન પરત જઈરહ્યા છે. આ જ કારણો છે કે રેલવે સ્ટેશન પર ક્ષમતા કરતા વધુ લોકો પહોંચ્યા.. પણ વાંક માત્ર પરિસ્થિતિનો જ નથી..કારણોથી વાકેફ હોવા છતાં તંત્રએ યોગ્ય આયોજન ન કર્યું.. લોકોનો મોટી માત્રામાં ધસારો હોવા છતાં માત્ર બે જ ટ્રેનો રિઝર્વ્ડ રાખવામાં આવી. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો. અને તંત્રને પણ પરિસ્થિતિ કંટ્રોલમાં લેવામાં આંખે પાણી આવી ગયા. હાલ તો બંને ટ્રેનો રવાના થઈ ગઈ છે.. જો કે કેટલાંક મુસાફરો એવા પણ છે,, જેમને ખૂબ રાહ જોયા પછી પણ ટ્રેનમાં જગ્યા ન મળી અને તેમણે વીલા મોઢે પાછા જવું પડ્યું.વીડિયોમાં જુઓ સ્ટેશન પર મુસાફરોની અમાનવીય દશા..

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:55 pm

પાળીયાદ-રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત:બાઈકસવાર પરિવારને કારે ઉલાળ્યો, એક મહિલા અને પુરૂષનું પ્રાણપંખેરું ઉડી ગયું, એક બાળક સહિંત 2ને રાજકોટ ખસેડાયા

બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બાઈક પર પીપરડીનો પરિવાર હતોપ્રાપ્ત માહિતી અનુસાર, પીપરડી ગામનો એક પરિવાર બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે પાળીયાદ-રાણપુર રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર સાથે તેમની ટક્કર થઈ હતી. બાઈક પર કુલ 4 વ્યક્તિઓ (1 પુરુષ, 2 મહિલા અને 1 બાળક) સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક અને એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકોઅમિત કનેટીયા અને જસુબેન (રહે. પીપરડી). ઈજાગ્રસ્તોઅકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય એક મહિલા અને બાળકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતાં જ પાળીયાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:54 pm

લ્યો બોલો! પોસ્ટર બાદ હવે પેમ્ફલેટનો વરસાદ કરી વિરોધ:ભાજપ ઉમેદવાર નીતિન દોંગાના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટ, માસ્કમેન હોવાની આશંકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. ત્યારે વડોદરા મનપાની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ફરી એક વાર માસ્કમેને ભાજપના ઉમેદવાર ઉમેદવાર નીતિન દોંગાને નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. એટલે કે કેટલીક સોસાયટીમાં ભાજપના ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટનો વરસાદ કર્યો હતો. ઉમેદવારોના ફોટા પર ચોકડીના નિશાન સાથેના પેમ્ફલેટવડોદરામાં અગાઉ પોસ્ટરો અને બેનરો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ હવે પેમ્ફલેટ અને ડિજિટલ માધ્યમો દ્વારા થતા આ વિરોધે સત્તાધારી પક્ષની ચિંતા વધારી દીધી છે. વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ, સ્વામિનારાયણ ટેમ્પલ પાસેની અભિષેક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે પેમ્ફલેટનો વરસાદ કરવામાં આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાળાના ફોટા પર ચોકડીનું નિશાન મારીને આક્રોશ વ્યક્ત કર્યો છે. પેમ્ફલેટ માસ્કમેનના ઈન્સ્ટા આઈડીનો ક્યૂઆર કોડઉલ્લેખનીય છે કે વોર્ડ 10ના ઉમેદવાર નીતિન દોંગાએ બે દિવસ પહેલા 'માસ્ક મેન' નામના વ્યક્તિને ફોન કરી ધમકી આપી હોવાની કથિત ઓડિયો વાયરલ થઈ હતી. ત્યારે આ પેમ્ફલેટ દ્વારા વિરોધ કરનાર માસ્ક મેન હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે પોસ્ટર પાછળ માસ્કમેનનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ક્યૂઆર કોડ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં સતાધારી પાર્ટીના વિરોધના વંટોળ વચ્ચે શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:40 pm

સોશિયલ મીડિયામાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા:ચોરવાડમાં યુવકને લક્ઝરી કારના સ્ટેયરીંગ પરથી હાથ હટાવી રીલ બનાવવી ભારે પડી; ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા નીકળેલા યુવકની સીન-સપાટા બાદ પોલીસ મથકે હવાતિયાં.

આજના ડિજિટલ યુગમાં યુવા ધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે. લાઈક્સ, વ્યૂઝ અને ફોલોવર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતાની અને અન્યની જિંદગીની કિંમત ભૂલી રહ્યા છે. ફેમસ થવાની ઘેલછામાં ક્યારેક જીવના જોખમે સેલ્ફી લેવી, તો ક્યારેક ચાલુ બાઈકે સ્ટંટ કરવા જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના ચોરવાડમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે લક્ઝરી કારમાં સ્ટેયરીંગ પરથી હાથ મૂકી, છૂટા હાથે ગાડી ચલાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને આખરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ​હાલમાં સોશિયલ મીડિયા જાણે કે એક વ્યસન બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુક સ્ટોરીઝ માટે ગમે તે હદ સુધી જવાની વૃત્તિ વધી રહી છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકોને ખ્યાલ નથી હોતો કે રસ્તા પર કરવામાં આવતા આ સ્ટંટ ક્યારેક જિંદગીનો છેલ્લો સ્ટંટ બની શકે છે. આ પ્રકારના કૃત્યો માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જૂનાગઢ પોલીસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ​ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ફુલરામા બરડા વાડી વિસ્તારનો હિતેશભાઈ બાબુભાઈ જોરા નામનો યુવક પોતાની ફોર વ્હીલર કાર ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને વીડિયો શૂટ કરવા માટે તેણે સ્ટેયરીંગ પરથી હાથ હટાવી લીધા હતા. માનવ જિંદગી જોખમાય તે રીતે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી, તેના સીન-સપાટાનો વીડિયો સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કર્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ જૂનાગઢ પોલીસ અધિક્ષક અને માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ​ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આઈ. રાઠોડ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને વીડિયોના આધારે આ ઈસમની ઓળખ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હિતેશ જોરાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવ્યો હતો. જે યુવક થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર 'હીરો' બનવા નીકળ્યો હતો, તે પોલીસના સકંજામાં આવતા જ ફિક્કો પડી ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવા બદલ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને વિડીયો બનાવનાર યુવકે પોલીસ પાસે માફી માગી હતી. ​આજના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ એટલું હદ સુધી વધી ગયું છે કે યુવાનો ફિલ્મી સ્ટંટને હકીકત માની બેસે છે. ફિલ્મોમાં આ સ્ટંટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ અને સુરક્ષિત વાતાવરણમાં થતા હોય છે, જ્યારે સામાન્ય રસ્તાઓ પર આવા પ્રયોગો મોતને નિમંત્રણ આપવા સમાન છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી મારફતે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. ​પોલીસની આ કડક કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર જોખમી રીલ્સ બનાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંતાનો સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે અને કઈ રીતે વાહન ચલાવે છે તેના પર દેખરેખ રાખે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:17 pm

ભાવનગરના 304મા જન્મદિવસ અનેક વિધ કાર્યક્રમો યોજાયા:રાજકીય અગ્રણીઓ અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ દિવંગત રાજવીઓને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે 19 એપ્રિલે ભાવનગરના 304મા સ્થાપના દિન અન્વયે અલગ અલગ રાજકીય હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના અગ્રણીઓ તથા નેતાઓ સાથે સામાજિક ક્ષેત્રના તેમજ ઔદ્યોગિક એકમકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ભાવનગરની સ્થાપના કરનાર મોતીબાગ સ્થિત મહારાજા ભાવસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એવી જ રીતે દરબારી કોઠાર ખાતે આવેલ રાજવંશજોના સમાધિ સ્થળે દિવંગત મહારાજાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નીલમબાગ સ્થિત પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 'ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે'આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ભાવનગરનો જન્મદિવસ જે દિવસે તોરણ બંધાયું હતું, એ વિશેષ રીતે ઉજવણી થાય છે. અમારા સૌ સાથીઓ, ભાવનગર જન્મોત્સવ સમિતિ મેં એમને વિનંતી કરી વિચાર મૂક્યો અને એમણે સ્વીકાર્યો અને લગભગ આઠ-નવ વર્ષથી ભાવનગરનો જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે વિશિષ્ટ રીતે કરી રહ્યા છીએ. આજે અખાત્રીજ છે, ભાવનગરનું તોરણ બંધાણનો દિવસ છે. ભાવેણાવાસીઓના ઘરે ઘરે આનંદની વાત છે કે આપણું પ્રજાવત્સલ રાજવીનું ભાવેણું એ વિશેષ ભાવસભર છે. ‘ચૂંટણી આચારસંહિતાના કારણે કાર્નિવલ મુલતવી’વધુમાં જણાવ્યું હતું કે, ખુશી સાથે 304 જેટલી રક્તદાનની બોટલો ગઈકાલે અમે એકત્રિત કરી. જે કાર્નિવલની ઉજવણી બોરતળાવ ખાતે કરતા હોઈએ છીએ વિશેષ ચૂંટણી આચારસંહિતાના કારણે મુલતવી રાખી છે. એમાં સૌ નામાંકિત કલાકારો કીર્તિદાનભાઈ, સાઈરામભાઈ, રાજદાનભાઈ, કિંજલબેન દવે, દેવાયત ખાવડ આવા અનેક કલાકારો એ સુનિશ્ચિત થયા હતા. ઇલેક્શનના કારણે એ મુલતવી રાખ્યું છે. આવનારા સમયમાં સૌ ભાવેણાવાસીઓ જે પ્રકારે આનંદ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણી ત્રણ દિવસ બોરતળાવ કાર્નિવલ એટલે કે ભાવનગર કાર્નિવલ નામે ઉજવીએ છીએ એ ઉજવણી આપ સૌના સાથ સહકારથી, જનતાના સાથ સહકારથી હજારો લોકો એનો લાભ લે. એવો જ ઉત્સવ એ રંગારંગ રીતે લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, કલાકારો, આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એની જાળવણીના ભાગરૂપે કરીશું. રાજવી પરિવારની સમાધિને પુષ્પાંજલિ​આજના ભાવનગરના જન્મદિસે ભાવસિંહજીનું પ્રતિમા હોય, અહીંયા સમાધિ સ્થળ ઉપર આપણા કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજી, મહારાણી સાહેબ તમામ રાજવી પરિવારની સમાધિને અમે પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છીએ. કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પણ અમે પુષ્પાંજલિ કરવાના છીએ. દિવાળીના દિવસે પણ એટલે કે બેસતા વર્ષના દિવસે પણ અમે આ ક્રમ એ ભાવસિંહજીનું સ્ટેચ્યુ હોય કે સમાધિ સ્થળ હોય. 'મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વિચારધારા જીવંત રાખવાની છે'આ અંગે શહેર કોગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આપણે એવું ભાવેણા બનાવવાનું છે કે જે ભાવેણામાં 18એ વરણના લોકો ખુશ રહી શકે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે વિચારધારા છે એ હજી આપણે જીવંત રાખવાની છે અને આપણી સૌની જવાબદારી છે. એ તમામે તમામ લોકોની જવાબદારી છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે વિચારધારા છે, ‘મારી પ્રજાનું કલ્યાણ થજો’, આપણે એવા જ કાર્યો કરવાના છે કે આપણે ભાવનગરની જનતાને સંપૂર્ણ રીતે ન્યાય આપી શકીએ. કોઈપણ એવું આપણે ભાવનગરનું કંઈ અહિત થાય કે એવું કામ અમારાથી તો ક્યારેય નહીં થાય, પણ અમે જે કરતા હશે ને એનાથી થવા પણ નહીં દઈએ અને અમે એની સામે અડગ રહીને ઉભા રહીશું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પૂર્વ મત ક્ષેત્રના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપા પ્રમુખ મહાનગરપાલિકાના કમિશનર રેન્જ આઇ.જી ઉપરાંત ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભા તથા કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:12 pm

મહિલા અનામત બિલને લઇ આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ:નારીનું સન્માન કરવાની શરૂઆત જ કોંગ્રેસ પક્ષે કરી છે, RSSનું કોઈ એક એવું સંગઠન નથી જ્યાં મહિલાઓને માન મળતું હોય : પ્રગતિ આહીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવતા આજ રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન પ્રગતિ આહીર અને ગાયત્રીબા વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન કરતા કોંગ્રેસ પક્ષે બધાને શીખવ્યું છે જયારે ભાજપ માત્ર નારી સન્માનના નામે રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ પક્ષે પ્રથમ મહિલા વડાપ્રધાન, મહિલા રાષ્ટ્રપતિ, મહિલા લોકસભા સ્પીકર સહિત અનેક મહિલા નેતાઓ આપ્યા છે. આજે જયારે બીજા રાજ્યોમાં ચૂંટણી આવી છે ત્યારે આ બિલના નામે રાજનીતિ કરવા ભાજપ મેદાને આવ્યું માટે વિપક્ષ વિરોધ કરી રહ્યું છે કારણ કે બિલ પાસ થયા પછી અમલવારી ક્યારથી થાય તેની કોઈ સ્પષ્ટતા નથી માટે તાત્કાલિક આ બિલ લાગુ કરવામાં આવે તો વિપક્ષની આજે પણ તૈયારી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીર દ્વારા અનામત બિલ પાસ થાય એ માટે કોંગ્રેસ અને તમામ વિપક્ષ તૈયાર છે પરંતુ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે કોઈ શરતો નહિ માત્ર 33% અનામત લાગુ આવતીકાલથી જ કરવામાં આવે એ વિપક્ષની માંગ છે પરંતુ ભાજપ આ બિલ પાસ કરી અમલવારી ક્યારે કરશે તેનો કોઈ ચોક્કસ સમય ન આપવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વાત રહી નારી સન્માનની તો ચોક્કસ નારીને સન્માન આપવાનું કામ કોંગ્રેસ પક્ષે શરૂ કર્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, RSS વિચારધારા સાથે જોડાયેલો ભાજપ પક્ષ ક્યારે પણ નારીનું સન્માન કરી શકે એમ નથી. RSSનું કોઈ એક એવું સંગઠન નથી જ્યાં મહિલાઓને માન સન્માન મળતું હોય. ચૂંટણી લક્ષી ફાયદો લેવા માટે આ બિલ પાસ કરવા માંગ કરી છે ભાજપે માટે તમામ વિરોધ પક્ષના નેતાઓએ સાથે મળી તેમનો વિરોધ કર્યો છે. ગઈકાલના સંબોધનમાં મોદી સાહેબે ભાજપનો પ્રચાર કર્યો હતો દેશ હિતની કોઈ વાત ન હતી માત્ર ભાજપનો પ્રચાર કરી કોંગ્રેસ પક્ષને કોસવાનું કામ કર્યું છે 1024 વાર તેઓ પોતાના ભાષણમાં કોંગ્રેસનું નામ લઇ કોંગ્રેસ પાર્ટીને કોસવાનું કામ કર્યું છે તેમના સામે ફરિયાદ પણ થવી જોઈએ. પ્રધાનમંત્રી હવે બોખલાઈ ગયા છે કોંગ્રેસને કોસવા સિવાય એક પણ મુદ્દો એક પણ વાત તેમના પાસે બચી નથી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપ જુઠાણા ફેલાવી રહી છે અને વિપક્ષને બદનામ કરી રહી છે. નારી વંદના અને નારી ગૌરવની વાત ભાજપ ક્યાં મોઢે કરે છે તે હું પૂછવા માંગુ છું. દેશના પ્રથમ લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, દેશના મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, અને પ્રથમ લોકસભાના મહિલા સ્પીકર મીરા કુમાતી જેવા અનેક દિગ્ગ્જ નેતાઓ કોંગ્રેસ પક્ષે આપ્યા છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ પોતાના કાર્યકાળ દરમિયાન મહિલાઓને પંચાયતી રાજમાં 33% અનામત આપવાનું કામ કર્યું છે તેના કારણે જ આજે દરેક રાજકીય પક્ષોમાં બહેનો ખુમારીથી કામ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:11 pm

બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણી: ગુંદાળા બેઠક પર મતદારોનો મિજાજ:રોડ, પાણી, સ્ટ્રીટલાઈટ સમસ્યા ઉકેલનારને મત આપવા નિર્ધાર

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાવાની છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે સઘન તૈયારીઓ કરી રહ્યા છે. આ સંદર્ભે, દૈનિક ભાસ્કરે બોટાદની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર મતદારોનો મિજાજ અને તેમની અપેક્ષાઓ જાણવા માટે મુલાકાત લીધી હતી. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ ૨૦ બેઠકો આવેલી છે, જેમાં ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક હેઠળ ગુંદાળા, સાજણાવદર, ચિરોડા, ગઢાળી, રાજપીપળા, પ્રહલાદ ગઢ, વનાળી અને બોડકી સહિત કુલ ૧૯ ગામોનો સમાવેશ થાય છે. અહીં ૧૫ હજાર મતદારો નોંધાયેલા છે અને આ બેઠક સ્ત્રી અનામત છે. કોંગ્રેસે સાજણાવદર ગામના કોળી સમાજના ઉષાબેન જીતુભાઈ બારડને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે ચિરોડા ગામના ક્ષત્રિય સમાજના ૨૩ વર્ષીય વિદ્યાર્થીની ક્રિષ્નાબા શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી છે. આ બેઠક પર કોળી સમાજના મતો સૌથી વધુ છે, ત્યારબાદ પટેલ અને ક્ષત્રિય સમાજના મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક ગામોમાં સીસી રોડ અને સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, હજુ પણ ઘણા ગામોમાં પીવાના પાણી, સ્ટ્રીટલાઈટ અને સીસી રોડની સમસ્યાઓ યથાવત છે. મતદારોનો સ્પષ્ટ મિજાજ છે કે જે ઉમેદવાર આ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવશે, તેમને જ તેઓ મત આપશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:11 pm

ઉગામેડી: 15 હજાર વસ્તી છતાં સરકારી સુવિધાનો અભાવ:'મીની સુરત' કહેવાતાં ગામમાં સરકારી દવાખાના-વીજળીની સમસ્યા

બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ઉગામેડી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ગામોમાં મતદારોની અપેક્ષાઓ અને સ્થાનિક સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરાયો હતો. બોટાદની ઉગામેડી બેઠકનું મુખ્ય ગામ ઉગામેડી ૧૫ હજારની વસ્તી ધરાવે છે અને 'મીની સુરત' તરીકે ઓળખાય છે, જ્યાં રત્નકલાકારો હીરા ઘસવા આવે છે. જોકે, આટલી મોટી વસ્તી હોવા છતાં ગામમાં સરકારી દવાખાના અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠક પૈકી ઉગામેડી બેઠક મહત્વની ગણાય છે. આ બેઠકમાં ઉગામેડી, ખોપાળા, લાખણકા, અડતાળા, સખપર, સુરકા, કાપરડી અને વિરડી સહિત 8 ગામોનો સમાવેશ થાય છે. અહીં કુલ 18 હજાર જેટલા મતદારો નોંધાયેલા છે અને આ બેઠક સામાન્ય પુરુષ માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર કોંગ્રેસે રણીયાળા ગામના ડો. જગદીશ ગોયાણીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે ખોપાળા ગામના યુવાન પ્રવીણ ગાબાણીને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદાર સમાજના મતો સૌથી વધુ છે, ત્યાર બાદ કોળી સમાજ, માલધારી સમાજ અને અન્ય સમાજના મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. ઉગામેડી ગામમાં સરકારી દવાખાનાનો અભાવ એક મોટી સમસ્યા છે. નાની-મોટી બીમારીઓ માટે પણ ગ્રામજનોને શહેરોમાં જઈને મોંઘી સારવાર લેવી પડે છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. વીજળીની સમસ્યા પણ વ્યાપક છે. ગામમાં જેટકો 66 કેવી સબસ્ટેશન હોવા છતાં દરરોજ વીજળી ગુલ થાય છે. આ ઉપરાંત, દર ગુરુવારે નિયમિત વીજકાપ પણ લાદવામાં આવે છે, જેનાથી ગ્રામજનો પરેશાન છે. રોડ-રસ્તાની સ્થિતિની વાત કરીએ તો, કેટલાક વિસ્તારોમાં રસ્તા સારા છે, પરંતુ મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે. જોકે, પીવાના પાણીની વ્યવસ્થા સારી હોવાનું મતદારો જણાવી રહ્યા છે. ઉગામેડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર નબળું હોવાનું પણ મતદારો કહી રહ્યા છે. મતદારોની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક સરકારી દવાખાનું ખોલવું, વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો અને શિક્ષણના સ્તરમાં સુધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:08 pm

સુરેન્દ્રનગરમાં મતદાન મથકોની 200 મીટર ત્રિજ્યામાં પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ આગામી તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર છે. આ સંદર્ભે, જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાનના દિવસે અનધિકૃત કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, મતદાન મથકની અંદર તેમજ મતદાન મથકથી 200 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ મત માટે પ્રચાર કરી શકશે નહીં. મતદારોને ધાક-ધમકી આપવી, કોઈ ઉમેદવારને મત આપવા કે ન આપવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરવી, કે ચૂંટણી સંબંધિત કોઈ નોટિસ કે નિશાની (સરકારી નોટિસ સિવાય) પ્રદર્શિત કરવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુમાં, મતદાન મથકની મર્યાદામાં સેલ્યુલર ફોન, વાયરલેસ સેટ જેવા ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વાહનો સાથે મતદાન મથક વિસ્તારમાં આવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. મતદાન મથકમાં માત્ર મતદાર, ઉમેદવાર અને ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલા કર્મચારીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 1:04 pm

આજે બે સેશનમાં PSIની પરીક્ષા:કેન્દ્ર ભૂલી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સારથિ બની, 20,700 ઉમેદવારની પરીક્ષા

સુરત જિલ્લામાં આજે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા ચુસ્ત સુરક્ષા રીતે યોજાય રહી છે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટે ઉત્સુક એવા અંદાજે 20,700 જેટલા ઉમેદવારો શહેરના વિવિધ કેન્દ્રો પર પોતાની મહેનતનું પરિણામ મેળવવા પરીક્ષા આપી રહ્યા છે. 69 પરીક્ષા કેન્દ્ર પર 690 બ્લોકસમગ્ર શહેરમાં 69 જેટલી નામાંકિત અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી પરીક્ષા કેન્દ્રો તરીકે કરવામાં આવી છે, જ્યાં શિક્ષણ અને શિસ્તનું વાતાવરણ જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે.આ વખતે બેઠક વ્યવસ્થામાં કુલ 69 કેન્દ્ર પર 690 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે અને દરેક બ્લોકમાં માત્ર 30 ઉમેદવારોને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે પરીક્ષામાં પારદર્શિતા અને શાંતિ જળવાઈ રહે. બે સેશનમાં પરીક્ષાનું આયોજનવહીવટી સરળતા ખાતર સમગ્ર સુરત જિલ્લાને બે મુખ્ય ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઝોન 1 તરીકે ગુરુકુલ કુમાર વિદ્યાલય અને ઝોન ૨ તરીકે કતારગામ સ્થિત ગુરુકુલ કુમાર કાસાનગર વિદ્યાલયને કાર્યરત કરવામાં આવ્યા છે. આ બંને કેન્દ્રો સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના સંચાલન માટેના મુખ્ય મથક તરીકે કાર્ય કરી રહ્યા છે, જ્યાંથી તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પરીક્ષાના સમયપત્રકની વાત કરીએ તો, ઉમેદવારોની કસોટી બે સત્રોમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સત્ર સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી અને બીજા સત્રની પરીક્ષા બપોરે 03:00થી સાંજે 06:00 દરમિયાન લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાની સુરક્ષા હેઠળપોલીસ દ્વારા 31 જેટલા અત્યંત સુરક્ષિત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ દરેક રૂટ પર જવાબદાર અધિકારીઓની સીધી નિગરાની હેઠળ પ્રશ્નપત્રોને કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સવારના સત્ર બાદ બપોરના સત્ર માટે પણ નવેસરથી આ જ સુરક્ષા વ્યવસ્થા હેઠળ પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે જેથી ગેરરીતિની કોઈ પણ નાની તક પણ ન રહે.આજના આ આયોજનમાં ટેકનોલોજીનો ઉપયોગ એક રક્ષણાત્મક કવચ તરીકે કરવામાં આવ્યો છે. સુરત શહેરના તમામ 69 પરીક્ષા કેન્દ્રોને અત્યાધુનિક CCTV કેમેરાની સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કેમેરાનું લાઈવ રેકોર્ડિંગ સીધું કંટ્રોલ રૂમમાં નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ અણધારી કે શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક એક્શન લઈ શકાય. 'પેપર લીક ન થાય તેવી આશા'પીએસઆઇની પરીક્ષા આપવા આવનાર ઉમેદવાર રાઠોડ સુખદેવે જણાવ્યું હતું કે અહીંયા ગુજરાત પોલીસ PSI કેડરની ભરતીની એક્ઝામ છે, એના માટે સુરત ખાતે આવ્યા છીએ. તૈયારી તો બે-ત્રણ વર્ષથી કરીએ છીએ. પણ હવે સરકાર પાસે એવી આશા છે કે પેપર લીક ના થાય અને પેપર ફૂટે નહીં બસ એવી આશા છે, શાંતિથી પરીક્ષા લેવાય. પોલીસે ઉમેદવારને મદદ કરીપરીક્ષા દરમિયાન સુરત પોલીસનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સવારના સમયે કૈતુક કુમાર ગામિત નામનો એક ઉમેદવાર શરતચૂકથી પોતાના નિર્ધારિત કેન્દ્ર 'પ્રમુખ માધ્યમિક શાળા, સીંગણપુર' ને બદલે 'પીએમ ભગત માધ્યમિક શાળા, ચોક બજાર' ખાતે પહોંચી ગયો હતો. સવારે 08:20 વાગ્યાનો સમય હતો અને તેના સાચા કેન્દ્ર પર પહોંચવા માટે સમય ખૂબ જ ઓછો હતો. આવી કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ ત્વરિત નિર્ણય લઈ, કૈતુક કુમારને તાત્કાલિક સરકારી વાહનમાં બેસાડી તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો. ત્યારે બીજો એક ઉમેદવાર પણ પોતાના મિત્રની બેગમાં કોલ લેટર ભૂલી ગયો હતો અને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય થોડો જ બાકી હતો ત્યારે પોલીસે બાઈક લઈને વિદ્યાર્થીને તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. પોલીસની આ ત્વરિત મદદને કારણે એક મહેનતુ વિદ્યાર્થીનું ભવિષ્ય બચી ગયું અને તે સમયસર પરીક્ષા આપી શક્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો જાળવવા માટે જ નહીં, પણ મુસીબતમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે પણ હંમેશા તત્પર રહે છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:59 pm

200 થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાય છે.:ભાવનગરમાં ''બચપન ચેરીટેબલ ટ્રસ્ટ'' ની દૈનિક અન્ન વિતરણ સેવા

ભાવનગરમાં “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા દૈનિક અન્ન વિતરણ સેવા ચલાવવામાં આવે છે. આ સેવા અંતર્ગત, 18 એપ્રિલ 2026 ના રોજ યુવા પત્રકાર પાર્થભાઈ રમેશભાઈ મહેતાએ તેમના જન્મદિવસ નિમિત્તે ભાવનગરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ભોજન વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 200 થી વધુ શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં રસ, પૂરી અને શાકનો સમાવેશ થતો હતો. પાર્થ મહેતાએ તેમના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોને ભોજન કરાવીને કરી હતી. “બચપન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ સેવાભાવી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:58 pm

સાડા ત્રણ વર્ષની બાળકીને સાપે ડંખ મારતા મોત:એકની એક દીકરી ગુમાવતા માતાનો આક્રંદ, જહાંગીરપુરા બ્રિજ નીચે મોડીરાત્રે ઊંઘતી હતીને સાપે ડંખ માર્યો

આર્થિક રીતે નબળા અને ફૂટપાથ કે બ્રિજ નીચે આશરો લઈને રહેતા શ્રમિક પરિવારો માટે કુદરત પણ ક્યારેક કેટલી ક્રૂર બની શકે છે, તેનો જીવંત અને હૃદયદ્રાવક દાખલો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતા એક શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાત્રિના સમયે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે એક ઝેરી સાપે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને દંશ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્રિજ નીચે સૂતેલી બાળકીને સાપે ડંખ માર્યોમળતી માહિતી મુજબ, જહાંગીરપુરા બ્રિજ નીચે રહેતી મેઘનાબેન ઠાકોર નામની મહિલા તેની સાડા ત્રણ વર્ષની દીકરી મહેક અને તેની નાની સાથે રહેતી હતી. શનિવારની મધ્યરાત્રિએ અંદાજે 1:00 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના બની હતી. મહેક તેની માતા અને નાની પાસે શાંતિથી નિદ્રા માણી રહી હતી. ગરમી અને ખુલ્લા વાતાવરણને કારણે બ્રિજ નીચે પથરાયેલા પલંગ કે ગોદડા પર સૂતેલી આ માસૂમ બાળકી પર અચાનક એક ઝેરી ડંખ માર્યો હતો. મોડી રાત્રે બચાવો-બચાવોની બૂમો પડીસાપે બાળકીના શરીરે ડંખ મારતા જ મહેક પીડાથી ચીસ પાડી ઉઠી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને માતા મેઘનાબેન અને નાની તુરંત જ જાગી ગયા હતા. આસપાસ તપાસ કરતા ત્યાં સાપ હોવાનું જણાતા પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. અડધી રાત્રે બ્રિજ નીચે બચાવો-બચાવોની બૂમો પડતા આસપાસના અન્ય શ્રમિકો પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ તબીબે મૃત જાહેર કરીબાળકીને સાપ કરડ્યો હોવાનું માલૂમ પડતા જ પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર સાંભળતા જ માતા મેઘનાબેન હોસ્પિટલના પટાંગણમાં જ ભાંગી પડ્યા હતા. આ ઘટના પાછળની કરુણતા એ છે કે મૃતક મહેક તેની માતા મેઘનાબેનનું એકમાત્ર સંતાન હતી. મેઘનાબેનના પતિ તેમનાથી અલગ રહેતા હોવાથી, મેઘનાબેન મજૂરી કામ કરીને પોતાની દીકરીનું લાલનપાલન કરતા હતા. તેમની દુનિયા માત્ર આ સાડા ત્રણ વર્ષની દીકરીની આસપાસ જ ફરતી હતી.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:51 pm

APK ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:સિવિલ હોસ્પિટલના નર્સે RTO ચલણના નામની APK ફાઇલ ડાઉનલોડ કરતા 7 લાખ ઉપડી ગયા

અમદાવાદના સિવિલ હોસ્પિટલના નર્સ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. નર્સને અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કર્યાં બાદ નર્સના ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સે સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઇલ ડાઉનલોડ કરીને 7 લાખ ઉપડી ગયાનવા નરોડામાં રહેતા 55 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. નર્સને 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણની APK ફાઇલ હતી. RTO ચલણ હોવાથી નર્સે ફાઈલ ડાઉનલોડ કરી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યાં થોડા દિવસમાં જ નર્સના બેંકના ખાતામાંથી 5 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. નર્સને જ્યારે બેન્કનો મેસેજ આવ્યો ત્યારે તેમને તપાસ કરી હતી. નર્સ બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર તેમણે બેંક એકાઉન્ટમાંથી 7 લાખ ઉપાડી દીધા છે. નર્સે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:45 pm

અખાત્રીજે સાબરકાંઠાના ખેડૂતોએ ખેડાણનું મુહૂર્ત કર્યું:હિંમતનગર સહિત જિલ્લામાં પરંપરાગત રીતે કૃષિ કાર્યનો પ્રારંભ

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારે અખાત્રીજના શુભ અવસરે ખેડૂતોએ ખેતરમાં ખેડાણ શરૂ કરવાનો શુભ મુહૂર્ત કર્યો હતો. આ સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત થઈ છે. હિંમતનગરના બેરણા સહિતના ગામોમાં વહેલી સવારે ખેડૂતોએ પરંપરાગત રીતે ખેતરમાં જઈ કૃષિ કાર્યની શરૂઆત કરી હતી. આ શુભ દિવસે ખેડૂતોએ પોતાના બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ ખેતરમાં હળ ચલાવીને વિધિવત રીતે ખેતીના કામનો પ્રારંભ કર્યો હતો. ગામડાઓમાં આ પ્રસંગે ધાર્મિક અને પરંપરાગત વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડૂતો હવે આજથી ખેતીના કામમાં વ્યસ્ત બનશે. હાલના સમયમાં અસહ્ય ગરમી હોવા છતાં ખેડૂતોએ ખેતરની તૈયારી શરૂ કરી છે. ખેતરને તપાવ્યા બાદ ચોમાસાની શરૂઆત થતા વાવણી સહિતની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવશે. અખાત્રીજના દિવસે કૃષિ કાર્ય શરૂ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ખેડૂત સમુદાય માટે આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:40 pm

ગતવર્ષની તુલનાએ સોનાના ભાવ બમણા:રાજકોટમાં અખાત્રીજનાં મુહૂર્તને સાચવવા માટે લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળ્યા, ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી હોવાનો વેપારીઓનો મત

આજરોજ અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે સોનાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ગ્રાહકોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વધતા ભાવ વચ્ચે પણ લોકો તેના પરિવાર માટે સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે વેપારીઓનાં મતે ભાવમાં વધારો થવાની અસર ઘરાકી ઉપર વિપરીત પડી છે, અને ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી જોવા મળી રહી છે. આ તકે આગામી સમયમાં સોનાના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા વેપારીઓ અને ગ્રાહકોએ પણ વ્યક્ત કરી હતી. ડોલીબેન જગડ નામના ગ્રાહકે જણાવ્યું કે, સોના-ચાંદીની ખરીદી માટે અખાત્રીજના દિવસનું ખૂબ જ મહત્વ છે. ગત વર્ષ કરતા સોનાના ભાવ ઘણા વધારે છે, છતાં પણ અમે મુહૂર્ત સાચવવા માટે ખરીદી કરવા આવ્યા છીએ. અહીં દાગીનામાં ઘણી સારી વેરાયટીઓ જોવા મળી રહી છે. મેં મારા માટે મંગળસૂત્ર અને મારા સાસુ માટે માળાની ખરીદી કરી છે. સોનાના ભાવ વધવાને કારણે આર્થિક રીતે દરેક વર્ગને અસર પડી રહી છે, પરંતુ હાલ તહેવારના મહત્વને કારણે લોકો થોડી ઘણી પણ ખરીદી કરી રહ્યા છે. હાલ સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, ઉલટાનું આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે. અખા ત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પોતાની દીકરી માટે સોનાનાં દાગીનાની ખરીદી કરવા આવેલા અન્ય ગ્રાહક કવિતાબેન ટાંકે જણાવ્યું છે કે, અખા ત્રીજના મુહૂર્તનું અનેરું મહત્વ હોવાથી લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ભલે અત્યારે સોનાના ભાવ આસમાને હોય, પરંતુ શુકન સાચવવા માટે પણ લોકો થોડી ઘણી ખરીદી કરવાનું પસંદ કરે છે. અખા ત્રીજની સાથે આજરોજ પરશુરામ જયંતી પણ હોવાથી આ દિવસ ખૂબ જ શુભ છે. મેરેજ ફંક્શન કે અન્ય કોઈ પ્રસંગો માટે ગિફ્ટ આપવા માટે પણ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. હું પણ મારી દીકરી માટે શુકનની ખરીદી કરવા આવી છું. ઘણા લોકો ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દાગીનાની ખરીદી કરીને તેને સાચવી રાખતા હોય છે, જેથી પ્રસંગ સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. રાધિકા જ્વેલર્સના મનોજભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી છે. આ ઉપરાંત, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ જેવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના માહોલને કારણે લોકોમાં એક પ્રકારનો ગભરાટ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે, જે પણ બજારમાં મંદીનું એક મુખ્ય કારણ છે. જોકે, અક્ષય તૃતીયા અને પુષ્ય નક્ષત્ર જેવા દિવસો સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મનોજભાઈએ આશા વ્યક્ત કરી હતી કે, ભલે મોટી ખરીદી ન થાય, પણ લોકો શુકન સાચવવા માટે નાની-મોટી ખરીદી ચોક્કસ કરશે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ જોતા ભાવ ઘટે તેવા કોઈ એંધાણ નથી. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ થાળે પડે અને શાંતિ સ્થપાય, તો જ કદાચ ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, બાકી હાલના તબક્કે ભાવ વધારો યથાવત રહે તેવી પૂરી શક્યતા છે. આજના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ગત વર્ષની સરખામણીએ ઘરાકીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:39 pm

ચાંદખેડા વોર્ડમાં વિરોધના કારણે સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું:જીજ્ઞેશ મેવાણી પ્રચારમાં આવતા સુબોધ કુમુદ સિવાયના એક પણ ઉમેદવાર ન ફરક્યાં, કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ વધુ વકર્યો છે. વડગામના ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીને ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે જગ્યા બદલવી પડી હતી. ગઈકાલે 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે સાંજે 6.30 વાગ્યે આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે 6.40એ જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં માત્ર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો. મેવાણીએ સુબોધ કુમુદને ટિકિટ અપાવી છેધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમના નજીક વ્યક્તિ સુબોધ કુમુદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાં ટિકિટ અપાવી છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળવાથી આ વોર્ડના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ વિસ્તારમાં પેરાશૂટ ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર પણ લગાવ્યા હતા. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકમાં જીગ્નેશ મેવાણીને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારમાં આવતા મેવાણીનો કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યોજેથી જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આવ્યા હતા. વોર્ડના તમામ હોદ્દેદારો, વિવિધ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો થતા કાર્યકરોની અગત્યની મિટિંગ માટેનું સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીએ આયોજન કર્યું હતું. જો કે અગાઉથી નક્કી કરેલા સ્થાન પર મિટિંગ પણ કરવા દેવામાં આવી નહતી. માત્ર એટલું જ નહીં જે જગ્યાએ મિટિંગ કરવાની હતી ત્યાં તાળું મારી દેવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:36 pm

ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં 12 જુગારી ઝડપાયા, 58 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી 12 જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસના દરોડાઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.શાહની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુડાસણ ગામની સીમમાં કૌશિક પટેલના બોરવેલ સામે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં કેટલાક જુગારીઓ અંધારાનો લાભ ઉઠાવી પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે 12 શખસોને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા. 12 શખસો જુગાર રમતા ઝડપાયાજેમાં કુડાસણ ગામનો વનરાજ ઠાકોર (માલાપુરા વાસ), અંબાલાલ ઠાકોર (આંબલીવાળો વાસ), રણજીત ઠાકોર (આંબલીવાળો વાસ) ગણપતજી ઠાકોર (ખારાવાળો વાસ),ચમનજી ઠાકોર (બાજુટોળીવાસ),સનાજી ઠાકોર (બાજુટોળીવાસ),મહેશજી ઠાકોર (ટેકરાવાળો વાસ),રાજુજી ઠાકોર (ટેકરાવાળો વાસ), દશરથ પટેલ (આંબલીવાળો વાસ), તેજાજી ઠાકોર (આંબલીવાળો વાસ),મકાજી ઠાકોર (આંબલીવાળો વાસ) અને ચમનજી ઠાકોર (માલાપુરા વાસ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતીમાંથી રૂ.23,830 અને જુગારના દાવ પરથી રૂ.11,450 મળી કુલ રૂ 35,280ની રોકડ ઉપરાંત 23,000ની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના મળીને કુલ રૂ 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 12:14 pm

5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ, ગાંધીનગર સહિત 5 શહેરમાં તાપમાન 41 °Cને પાર, 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આકરા તાપ વચ્ચે આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 18 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ સિવાય અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.આજે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઆગમી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. 'હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય'હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સુરતને બાદ કરતા અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41Cને પાર પહોંચી ગયો છે. 18 એપ્રિલે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે આજથી 21 એપ્રિલ કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોના મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢમાં રાજનાંદગામમાં તાપમાન 45Cદેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગામ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45C નોંધાયું હતુ. શનિવારે દેશના 10 સૌથી ગરમ શહેરમાં ઉત્તરપ્રદેશના બાંદામાં 44.6, તેલંગણાના આદિલાબાદમાં 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતીમાં 44.2 અને મધ્યપ્રદેશના રતલામમાં 44Cનો સમાવેશ થાય છે.રાજસ્થાન, યૂપી, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢના અનેક શહેરમાં તાપમાન 43Cથી વધારે રહ્યું. એટલે કે મે પહેલા જ મહતમ તાપમાનમાં જબરજસ્ત વધારો થયો છે.હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં રાત્રિના સમયે લૂનું એલર્ટ જાહેર કર્યું છે. સતત ત્રીજા દિવસે આ રાજ્યોમાં ગરમીનો પારો 40Cથી વધારો નોંધાયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:49 am

ઇડરમાં દીકરીના જન્મદિને TB દર્દીઓને પોષણ કીટ વિતરણ:રક્તપિતના દર્દીઓને ભોજન આપી અનોખી માનવસેવાની પહેલ

ઇડરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ના કાઉન્સેલર દીપકભાઈ અને ઇડર અર્બન સેન્ટરના સ્ત્રી આરોગ્ય કાર્યકર મીનાક્ષીબેન દંપતીએ પોતાની દીકરી સીઝાનો ચોથો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે ગઈકાલે સાંજે TB દર્દીઓને પોષણ કીટ અને રક્તપિતના દર્દીઓને ભોજન આપીને સમાજમાં પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સીઝાના જન્મદિવસ નિમિત્તે, અર્બન હેલ્થ સેન્ટર, ઇડર વિસ્તારમાં 25 TB દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રક્તપિતના દર્દીઓને પ્રેમપૂર્વક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે દર્દીઓમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. દીપકભાઈ અને મીનાક્ષીબેનની આ પહેલ માત્ર સેવા પૂરતી સીમિત નથી, પરંતુ અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સંવેદનાનો સંદેશ પહોંચાડે છે. તેમણે પોતાની પુત્રીના જીવનના આ ખાસ દિવસે તેને દયા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીના મૂલ્યોનો સંસ્કાર આપવાનો પ્રયાસ કર્યો છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે. દીપકભાઈ અને તેમની દીકરી સીઝાની આ અનોખી પહેલને લઈને લોકોમાં પ્રશંસા જોવા મળી રહી છે. તેમની આ સેવાયાત્રા ભવિષ્યમાં પણ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:36 am

સુરતમાં આમ આદમી પાર્ટીનો 'ગોલ્ડન ઉમેદવાર':60 તોલા સોનું અને બાઉન્સરોના કાફલા સાથે હાઈવોલ્ટેજ પ્રચાર; કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે. વોર્ડ નં. 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ 'ગોલ્ડન મેન' તરીકે પ્રખ્યાત થયા છે. તેઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું અને તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે. આમ આદમી પાર્ટીના આ 'ગોલ્ડન ઉમેદવાર'ની જીવનશૈલી અને તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારો કરતા તદ્દન અલગ તરી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર 60 તોલા સોનું પહેરીને પ્રચાર કરે છેકલ્પેશ બારોટ જ્યારે વોર્ડ નં. 1ની ગલીઓમાં જનસંપર્ક માટે નીકળે છે, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં ભારેખમ સોનાના બ્રેસલેટ અને ગળામાં જાડી સોનાની ચેન પહેરીને તેઓ મતદારો પાસે જાય છે. તેમની આ અનોખી સ્ટાઈલ જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે. પ્રચાર દરમિયાન તેઓ 60થી 65 તોલા સોનું પહેરે છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે. આટલું સોનું પહેરીને સામાન્ય રીતે કોઈ બહાર નીકળતા ડરતું હોય છે, પરંતુ કલ્પેશભાઈ આત્મવિશ્વાસ સાથે મતદારો વચ્ચે ફરે છે. કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યાસૌથી ચોંકાવનારી વાત એ છે કે કલ્પેશ બારોટ ગુજરાતના કદાચ એવા પ્રથમ ઉમેદવાર હશે જેઓ પોતાના પ્રચારમાં ખાનગી બાઉન્સરો સાથે રાખે છે. તેમની સાથે કાયમ બે બાઉન્સરો રહે છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ બાઉન્સરો તેમના પારિવારિક મિત્રો જેવા છે. જોકે, તેમણે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના ઉમેદવારોની જે રીતે ખરીદ-વેચાણની રાજનીતિ ચાલી રહી છે, તેનાથી બચવા અને પોતાની સુરક્ષા માટે તેઓ આ વ્યવસ્થા રાખે છે. એફિડેવિટમાં 90 લાખના ગોલ્ડનો ખુલાસોચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં કલ્પેશ બારોટે પોતાની મિલકતોનો વિગતવાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું છે. તેમની પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો પણ એફિડેવિટમાં દર્શાવવામાં આવી છે. કલ્પેશભાઈનું કહેવું છે કે, તેમણે કંઈ પણ છુપાવ્યું નથી અને જે છે તે જનતાની સામે પારદર્શક રીતે રજૂ કર્યું છે. મોટી માત્રામાં સોનું પહેરીને પ્રચાર કરતાં જનતામાં કુતૂહલસોનાના શોખને કારણે જ આજે તેઓ સુરતની જનતામાં 'ગોલ્ડન ઉમેદવાર' તરીકે ઓળખાઈ રહ્યા છે. કલ્પેશ બારોટ માટે સોનું પહેરવું એ માત્ર ચૂંટણીનો દેખાડો નથી. તેઓ વર્ષોથી સોનું પહેરવાના શોખીન છે. તેમના મતે, આ તેમની એક વર્ષો જૂની ઓળખ છે. લોકો તેમને સોનામાં લદાયેલા જોઈને નવાઈ પામતા હોય છે, પરંતુ તેના વિસ્તારના લોકો માટે આ નવું નથી. જોકે, ચૂંટણીના મેદાનમાં જ્યારે આટલી મોટી માત્રામાં સોનું પહેરીને ઉમેદવાર ઉતરે ત્યારે વિરોધ પક્ષો અને સામાન્ય જનતામાં કુતૂહલ જાગવું સ્વાભાવિક છે. તેઓ માને છે કે તેમનું સોનું એ તેમની મહેનતની કમાણી છે. 'મતદારોના આશીર્વાદ અને મિત્રો મારી સાથે છે, ત્યાં સુધી કોઈ જોખમ નથી'જ્યારે કલ્પેશભાઈને પૂછવામાં આવ્યું કે આટલું સોનું પહેરીને નીકળવામાં જોખમ નથી લાગતું?. ત્યારે તેમણે સણસણતો જવાબ આપ્યો હતો. વધુમાં તેમણે એક મેસેજ આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં જનતાએ સરકાર પર ભરોસો રાખવા કરતા પોતાની સુરક્ષા પોતે જ કરવી જોઈએ. તેમનો આ મેસેજ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ આંગળી ચીંધે છે. 'ગોલ્ડન ઉમેદવાર'ને જોતા જ લોકો સેલ્ફી લે છેવોર્ડ નં. 1ના રહીશો માટે કલ્પેશ બારોટનો પ્રચાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઘણા લોકો તેમને જોવા માટે ઘરની બહાર નીકળે છે તો ઘણા તેમની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ આદમી પાર્ટી માટે આ એક 'ક્રાઉડ પુલર' વ્યૂહરચના સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે સાદગીની રાજનીતિ કરતી પાર્ટીમાં આટલા ભપકાદાર ઉમેદવાર હોવા છતાં, કલ્પેશભાઈ દાવો કરે છે કે તેઓ જમીની સ્તરના કાર્યકર છે અને લોકોની સમસ્યાઓ સમજે છે.

દિવ્ય ભાસ્કર 19 Apr 2026 11:33 am