ઊર્જા મંત્રીએ ગેસ સપ્લાય મુદ્દે આપી હૈયાધારણાં મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે રાજ્યમાં રાંધણ ગેસની સંભવિત સમસ્યા પર ઊર્જા મંત્રીએ આશ્વાસન આપ્યું. ગેસની તંગી ન સર્જાય તે માટે ઈન્ડસ્ટ્રિયલ ગેસમાં 50 ટકાનો કાપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી.. QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. 11થી 20 માર્ચ દરમિયાન ઉમેદવારોને સાંભળવામાં આવશે.. 50% બેઠક પર યુવાનોને તક અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાસપોર્ટ ઓફિસ,પોસ્ટ ઓફિસ અને યુનિ.ને ધમકી વડોદરાની પારુલ યુનિ, ભાવનગર પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ, રાજકોટ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતા આરોપીઓ ઝડપાયા ગુજરાત એટીએસે વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સને ખોટા લેબલથી સપ્લાય કરતા સુરતના ત્રણ અને અન્ય 2 યુવકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ એલોવેરા પાઉડરના નામે સ્પેસ ઓઈલ તરીકે ઓળખાતા ડ્રગ્સને અલગ અલગ દેશોમાં પહોંચાડતા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત ગાંધીનગરમાં સુદાનના યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું. ઈન્દ્રોડા ગામના કટ પાસે યુવકનું એક્ટિવા બેરીકેડ સાથે અથડાયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો રાજકોટના વિરપુરના 17 વર્ષના સગીરને મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી ભગાડી ગઈ.. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ પાંગર્યો હતો.જો કે પોલીસે સુરત રેલવે સ્ટેશન પર બંનેને પકડીને સગીરને તેના પરિવારને સોંપ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષના સગીરે 3થી 4 વાહનોને અડફેટે લીધા વડોદરામાં 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા..કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ. જે બાદ ટોળાએ સગીરને મેથીપાક ચખાડ્યો. સગીર માતાપિતાની જાણ બહાર કાર લઈને આઈસક્રીમ ખાવા નીકળી પડ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુટલેગરે PI પર નોટોનો વરસાદ કર્યો મહેસાણાના કટોસણ ગામમાં બુટલેગરે પીઆઈ પર રુપિયા વરસાવ્યા.નોટોનો આ વરસાદમાં પોલીસ વિભાગની આબરુ ધોવાઈ જતા મહેસાણા એસપીએ તાત્કાલિક અસરથી પીઆઈને સસ્પેન્ડ કરી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GFના ખભે હાથ મુકી હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ આજે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા. તો અભિષેક શર્મા પણ મુંબઈ જવા રવાના થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ પારો 41ને પાર પહોંચ્યો માર્ચની શરુઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટ- અમદાવાદમાં પારો 41ને પાર પહોંચ્યો.. હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ સનાતન ધર્મની જય ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયાસુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશેમેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના 32 વિસ્તારોમાં રૂ. 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP-88) અંતર્ગત આ કામો હાથ ધરવામાં આવશે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ કામગીરીનો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ સીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને જળચોક, ઉંચામાઢ વિસ્તારમાં સીસી રોડ બનશે. કુમારપાળ સોસાયટી પાછળના ભવાની પાર્ક અને વિશ્વકર્મા સોસાયટીના મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરાશે. આ વિકાસ કામોથી સ્થાનિક રહેવાસીઓની રસ્તા અને પાણીના નિકાલની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. કુલ રૂ. 1,89,30,485ના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જયેશ પટેલ, દેવચંદ પટેલ અને દીક્ષિત પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગામી 17 એપ્રિલ, બુધવાર, 2024 ના રોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આયોજિત આ મેળામાં કુલ 506 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળો નગરપાલિકા ટાઉન હોલ, જહાઆરા બાગ, ફાયર સ્ટેશનની બાજુમાં, પાલનપુર ખાતે સવારે 09:30 કલાકે શરૂ થશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે. વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી., મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટીવ, ટાટા ઓટોકોમ્પ, જે.બી.એમ. પ્રા.લી., અરવિંદ મિલ્સ લિમિટેડ, વેલસ્પન લીવિંગ, યુનો મિંડા લાઈટિંગ અને જે.એન.એસ. જેવી વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે મહેશ બજાજ, કિયા મોટર્સ, સારથી ટોયોટા, સારથી હીરો, લીક-પ્રૂફ એન્જિનિયરિંગ (છાપી), વસંત ફેબ્રિકેટર્સ (છાપી) અને એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ ભરતી મેળામાં 18 થી 30 વર્ષની વય મર્યાદા ધરાવતા તેમજ એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટાની નકલ, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની નકલ, તથા ફોટોગ્રાફ સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલું અંબિકા માતાજીનું મંદિર 16 માર્ચ, સોમવારના રોજ પ્રક્ષાલન વિધિ માટે બંધ રહેશે. આ દિવસે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. ફાગણ વદ બારશના રોજ યોજાનારી આ વિધિને કારણે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, તે પૂર્વે આ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં રાજ્ય કક્ષાએ 9મો અને 10મો ક્રમ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. 5.90 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે આ તેજસ્વી તારલાઓએ કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી આ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-5 માટે લેવાયેલી CET (Common Entrance Test) 2025-26 ના પરિણામોમાં આ નાનકડા ગામની સરકારી શાળાએ સમગ્ર ગુજરાતમાં ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે 5,90,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. મકવાણા લવ મનીષભાઈએ 120 માંથી 104 ગુણ સાથે રાજ્યમાં 9મો ક્રમ અને શિયાર ધ્રુવી નાથાભાઈએ 120 માંથી 103 ગુણ સાથે રાજ્યમાં 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.આ સફળતા એટલા માટે પણ વિશેષ છે કારણ કે આ વિદ્યાર્થીઓએ કોઈ ખાનગી ટ્યુશનનો સહારો લીધો નહોતો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને અથાગ પ્રયત્નોથી જ આ સિદ્ધિ શક્ય બની છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.શાળા પરિવારે આ તકે દાતાઓને અને શિક્ષણપ્રેમીઓને અપીલ કરી છે કે, ગ્રામીણ પ્રતિભાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે શાળાના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપે. જેથી ભવિષ્યમાં વધુ બાળકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગામનું નામ રોશન કરી શકે.
સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને “સક્ષમ સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ઓફ દિવ્યાંગજન” બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલ દ્વારા મંગળવાર, 10 માર્ચ 2026ના રોજ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારે 11:00 વાગ્યે સંતરામ સભાગૃહ, ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રમુખ ડૉ. વિભા વૈષ્ણવ અને બી.એડ., એમ.એડ. સ્પેશિયલ એજ્યુકેશન સેલના વિભાગપ્રમુખ ડૉ. દિલીપ શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન સર ઉપસ્થિત રહ્યા હતા. IISc બેંગલોરના પ્રોફેસર ડૉ. હાર્દિક પંડ્યા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિભાગપ્રમુખના સંબોધનથી થઈ હતી. ડૉ. દિલીપ શર્માએ મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું, જ્યારે ડૉ. વિભા વૈષ્ણવે કુલપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ વિભાગનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કુલપતિ પ્રો. નિરંજન સરે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે વિશેષ શિક્ષણના ક્ષેત્રમાં બી.એડ્. કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ શિક્ષકોની માંગને કારણે કોર્સ પૂર્ણ કર્યા બાદ લગભગ 100 ટકા રોજગારની ખાતરી છે. સ્પેશિયલ બી.એડ. વિભાગનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરાયો હતો. મુખ્ય અતિથિ ડૉ. હાર્દિક પંડ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વિશેષ શિક્ષણમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે, ડૉ. દિલીપ શર્મા દ્વારા આભારવિધિ અને વંદેમાતરમ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
CVM યુનિવર્સિટીએ અમેરિકાની WPI સાથે કર્યા MoU:આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ મજબૂત બનશે
CVM યુનિવર્સિટીએ અમેરિકાની વર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી (WPI) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કર્યા છે. 9 માર્ચ, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી ખાતે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઉચ્ચ સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. WPI યુનિવર્સિટી અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી એક અગ્રણી સંશોધન યુનિવર્સિટી છે, જેની સ્થાપના 1865માં થઈ હતી. આ સંસ્થા વિજ્ઞાન, ઇજનેરી, કલા, વ્યવસાય અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે તેની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. WPI તેની પ્રોજેક્ટ આધારિત શૈક્ષણિક પદ્ધતિ (Project-Based Learning) માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે, જેમાં વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલને અભ્યાસક્રમ સાથે જોડવામાં આવે છે. તેને R1 સંસ્થા તરીકે માન્યતા મળી છે, જે તેને ઉચ્ચ સ્તરની સંશોધન પ્રવૃત્તિ ધરાવતી અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન આપે છે. 2025ના પ્રિન્સટન રિવ્યુ મુજબ, WPIએ કરિયર પ્લેસમેન્ટ માટે 15મું અને U.S. News World Report મુજબ ઇન્ટર્નશિપ/કો-ઓપ કાર્યક્રમો માટે 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુનિવર્સિટીમાં 20 NCAA Division III વર્સિટી સ્પોર્ટ્સ ટીમો સાથે સક્રિય કેમ્પસ જીવન અને નવીનતા તથા સંશોધનની મજબૂત સંસ્કૃતિ પણ જોવા મળે છે. આ MoU અંતર્ગત સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને સ્ટાફ એક્સચેન્જ, સંયુક્ત પ્રોજેક્ટ માર્ગદર્શન, સંશોધન ભંડોળ મેળવવા માટે સહયોગ અને એકબીજાની સુવિધાઓનો ઉપયોગ જેવા મુખ્ય હેતુઓ સમાવિષ્ટ છે.આ કરાર હેઠળ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર્સ તૈયાર કરી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓ એકબીજાની સંસ્થાઓમાં જ્ઞાનનું આદાન-પ્રદાન કરી શકશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને બંને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંશોધન માટે ગ્રાન્ટ મેળવવા માટે પણ બંને સંસ્થાઓ સંયુક્ત અરજીઓ કરશે. ઉપરાંત, બંને યુનિવર્સિટીઓ એકબીજાની અદ્યતન પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.આ MoU પર WPI યુનિવર્સિટી વતી ડૉ. શ્રીકુમાર પન્યામ અને CVM યુનિવર્સિટી વતી પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલે હસ્તાક્ષર કર્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ આ પહેલને આવકારી હતી. તેમણે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન આપે અને યુનિવર્સિટીને આગવી ઓળખ મળે તે દિશામાં સઘન કાર્ય કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને આરોપી પતિ તરુણ જીનરાજ સામે પત્નીની હત્યા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત સહિતની કલમો મુજબ 2003માં ગુનો નોંધાયો હતો. પત્નીની હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જે 15 વર્ષે પકડાયો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, પોલીસે બેંગ્લોરથી ઝડપ્યોમળતી માહિતી અનુસાર, 2002માં તેના લગ્ન થયા હતા. તેને અને તેના પરિવારે તેની પત્ની ઉપર માનસિક ત્રાસ ગુજારીને દહેજની માંગ કરી હતી. માત્ર ત્રણ મહિનામાં તેને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. 2018માં તેને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો. મિત્રને ત્યાં રોકાયો ને ત્યાં આરોપીએ બીજા લગ્ન કર્યા તે પત્નીની હત્યા બાદ ભાગીને મધ્યપ્રદેશમાં એક મિત્રને ત્યાં રોકાયો હતો. જા તેને પોતાની ઓળખ બદલીને મિત્રના નામના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા. જેના આધારે તેને નોકરી કરવાની પણ શરૂ કરી દીધી હતી. ત્યાં તેને બીજા લગ્ન પણ કર્યા હતાં. તેની સામે સેટેલાઈટ અને ભોપાલ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. બાકીના આરોપીઓ સામે 2005માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 2019માં આરોપી સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જામીનનો દુરુપયોગ કર્યો ને પોલીસ સમક્ષ સરેન્ડર ના થયોઅરજદાર તરફે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી વાર્તા ઊભી કરીને આરોપીને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. 2018થી તે જેલમાં છે. 2023માં તેની સામે ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે અને ટ્રાયલ પણ ચાલી રહી છે. જ્યારે સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. અગાઉ તેને હંગામી જામીન આપવામાં આવતા તેને તેનો દુરુપયોગ કર્યો હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર થયો નહોતો. ‘જો આરોપીને જામીન મળે તો તે ભાગી જાયની શકયતા’કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી લાંબા સમય સુધી ફરાર હતો. તેની બીજી પટ્ટી અને બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. આરોપી પોતાની ખોટી ઓળખ ઉભી કરીને અમેરિકા પણ જઈ આવ્યો છે. આ કેસમાં આરોપીને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. તેની પૂર્વ ગુન્હા નોંધાયેલા છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે ભાગી જાય તેવી પૂરી શક્યતા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં એક ખેડૂતના ખેતર પરથી પસાર થતી 11 કેવી વીજલાઈનમાં સ્પાર્ક થયા બાદ આગ લાગતા 10 વીઘામાં ઉભેલા ઘઉઁ અને કલંજીનો પાક બળીને ખાખ થયો છે. પાક લણણી પર હતો ત્યારે જ આગ લાગતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીજતાર ઢીલા હોવા અંગે વીજકંપનીનું ધ્યાન દોર્યા બાદ પણ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો છે. તાર અથડાયા બાદ સ્પાર્ક થયાને ખેતરમાં આગ ફાટી નીકળીઆજે બપોરના સમયે અચાનક પવનનો વંટોળ ફૂંકાયો હતો. જોરદાર પવનને કારણે ખેતર ઉપર લટકી રહેલા બે વીજ તાર એકબીજા સાથે જોરથી અથડાયા હતા. આ લાઈનમાં થ્રી-ફેઝ પાવર સપ્લાય ચાલુ હોવાથી તાર ટકરાતાની સાથે જ ભયાનક સ્પાર્કિંગ થયું હતું. આ સ્પાર્કિંગના કારણે અગનજ્વાળાઓ નીચે ઉભા ઘઉંના પાક પર પડી હતી. ખેતરમાં ઘઉંનો પાક સંપૂર્ણ તૈયાર હોવાથી અને સૂકો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હરેશભાઈના 10 વીઘાના ખેતરમાંથી 6 વીઘામાં વાવેલા ઘઉં અને 4 વીઘામાં વાવેલી કલંજીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો. પાણી-માટીથી આગ બુઝાવવાના પ્રયાસ કરાયા પણ સફળતા ન મળીપોતાની રાત-દિવસની મહેનતને નજર સામે બળતી જોઈ ખેડૂત પરિવાર અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે પાણી અને માટીનો ઉપયોગ કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ આગની તીવ્રતા એટલી વધુ હતી કે તૈયાર પાકને બચાવવો અશક્ય બની ગયો હતો. કાપણીના આરે ઉભેલો પાક મિનિટોમાં જ કાળી રાખમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂત હરેશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ બાદ જ્યારે વળતરની આશા હતી ત્યારે તંત્રની આળસને કારણે તેમનો લાખોનો પાક નષ્ટ થઈ ગયો છે. વીજકંપનીએ તપાસ હાથ ધરીઆ ગંભીર મામલે કેશોદ PGVCLના નાયબ ઇજનેર પી. બી. ગરચરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વંટોળ આવતા થાંભલા પરના તાર અથડાયા હતા અને સ્પાર્કિંગ થયું હતું. વીજ કંપની દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. હાલના નીતિ-નિયમો અને ધારાધોરણો મુજબ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી વીમા કંપનીને મોકલી આપવામાં આવશે. ખેડૂતને થયેલા આર્થિક નુકસાનનું વળતર વહેલી તકે મળે તે માટેની જરૂરી કાગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના અલકાપુરી અને સેવાસી વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ રોડ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં અલકાપુરી વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સેવાસી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. બંને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોત્રી વિસ્તારમાં કાર દિવાલ સાથે અથડાઈ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય આદિત્ય મુકેશભાઈ મોદીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ સવારે સાડા ચાર વાગ્યે નોકરીમાંથી છૂટ્યા બાદ પોતાની ફોર વ્હીલર ડિઝાયર કાર (નંબર GJ 07 DC 4175) લઈને મિત્ર બીપીન ત્રિવેદીને મયંક એપાર્ટમેન્ટ, ગોત્રી ખાતે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમણે મિત્રને ફોન કરી રેલ્વે સ્ટેશન ખાતે નાસ્તો કરવા જવાનું કહ્યું હતું, તેમની પણ નાઈટ શિફ્ટ હોવાથી તેઓ તેમને લેવા ગયા હતા. બંને કારમાં બેસી ગેંડા સર્કલ થઈ ગુંજ સોસાયટી વાળા રોડ પર પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે કુંજ પ્લાઝા ચાર રસ્તા પાસે કુંજ સોસાયટી ઘર નંબર 3ની દિવાલ સાથે કાર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં આદિત્ય મોદીને ડાબા કાન પાસે, ડાબી આંખ ઉપર, જમણા પગના ઘૂંટણ પાસે તથા ડાબા પગના ઘૂંટણ પાસે મૂઢમાર ઈજા થઈ હતી. પ્રિયંકા દવેને જમણા થાપા અને જમણા હાથના ખભાના ભાગે ઈજા થઈ હતી. કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સેવાસી એફજીઆઈ સામે બાઈક-કાર વચ્ચે અકસ્માત બીજી તરફ, વડોદરા શહેરના સેવાસી એફજીઆઈ સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના કારણે બાઈકનું આગળનું વ્હીલ નિકળી ગયું હતું. આ ઘટનામાં પણ કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. બંને અકસ્માતોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડ અતુલ-દિવેદ બ્રિજ 3 વર્ષમાં જ જર્જરિત:ગાબડામાંથી સળિયા દેખાતાં વાહનચાલકો માટે જોખમ વધ્યું
વલસાડ તાલુકામાં અતુલ અને દિવેદ ગામને જોડતો કરોડોના ખર્ચે બનેલો મહત્વનો બ્રિજ લોકાર્પણના માત્ર ત્રણ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો છે. બ્રિજ પરથી ડામરના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. બ્રિજની આ સ્થિતિને કારણે રાત્રિના સમયે સળિયા સ્પષ્ટ દેખાતા ન હોવાથી વાહનચાલકોના પટકાવાના અને અકસ્માત થવાનો ભય રહેલો છે. આ બ્રિજનું લોકાર્પણ ત્રણ વર્ષ પહેલાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્રિજની જર્જરિત હાલત અંગે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ અત્યાર સુધીમાં બે વખત પોતાના ખર્ચે બ્રિજનું સમારકામ કરાવ્યું છે. જોકે, હલકી ગુણવત્તાના કામને કારણે થોડા જ સમયમાં સળિયા ફરીથી બહાર આવી જાય છે. સ્થાનિકોમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થયો હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આવનારા દિવસોમાં આ બ્રિજ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેવી ભીતિ છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન પટેલે જણાવ્યું હતું કે, દિવેદ-અતુલને જોડતા બ્રિજ પર અગાઉ પણ કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક વાહનચાલકો દ્વારા પેચવર્કને સૂકવવાનો પૂરતો સમય ન અપાતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આગામી દિવસોમાં રિપેરિંગ કરી તાત્કાલિક ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના બે આરોપીઓ દિપક જાટ અને સતિષ પાવરાની NDPS કેસમાં ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે મેટ્રો કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સેશન્સ કોર્ટે એડવોકેટ દિલીપસિંહ.એમ.ઠાકોરની રજૂઆતોને ધ્યાને લઈને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ડુંગળીની આડમાં 406 કિલો ગાંજા સાથે બે ઝડપાયાકેસને વિગતે જોતા બંને આરોપીઓને પિકઅપ વાનમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે ડુંગળીની આડમાં 406 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. આ ગાંજો તેમને મધ્યપ્રદેશના એક ગામમાંથી શાંતારામ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા?આરોપીના રિમાન્ડની માંગ કરતા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ અમદાવાદમાં જથ્થો કોને આપવાના હતા? આ ગાંજાનું કોણે ઉત્પાદન કર્યું છે? અમદાવાદમાં ગાંજો કોણે મંગાવ્યો હતો? અગાઉ તેઓ આવી કોઈ ડીલેવરી આપવા અમદાવાદમાં આવ્યા હતા કે કેમ? રસ્તામાં તેમને બીજા કોઈએ ગાંજો આપ્યો છે કે કેમ? CCTV ફૂટેજ અને આરોપીઓની કોલ ડીટેલ તપાસવાની છે. 7 દિવસના રિમાન્ડની માંગ ને 2 દિવસના મંજૂરઆરોપીઓએ બીજો ગાંજો ક્યાંક સંતાડ્યો છે કે કેમ ? આરોપીઓને અન્ય કયા સહ આરોપીએ મદદ કરી છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ જાણવાનો છે. આ કોમર્શિયલ માત્રાનો ગાંજો છે. ત્યારે આ ગુનામાં કોઈ ક્રાઈમ સિન્ડિકેટ સંકળાયેલી છે કે કેમ ? કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓનો 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પાટણના સુજનીપુર રોડ પર રાવળ વિકાસ મંચ દ્વારા ઉત્તર ગુજરાતના પ્રથમ શૈક્ષણિક સંકુલનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદની સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડે (ભુવાજી) આશરે ₹2.51 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ સંકુલ માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના 500 થી વધુ ગામોમાંથી વિધિવત પૂજન કરેલી ઈંટો લાવવામાં આવી હતી. આ પૂજિત ઈંટોનો ઉપયોગ સંકુલના શિલાન્યાસ માટે કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજની પ્રગતિની ચાવી છે. રાવળ દેવ સમાજના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ કાર્યમાં સહયોગ આપવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે 500 ગામના સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાવળ વિકાસ મંચના પ્રમુખ ડી.કે. રાવળ, પ્રહલાદભાઈ આર. રાવળ અને અન્ય અગ્રણીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ શૈક્ષણિક સંકુલમાં અદ્યતન છાત્રાલય અને લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડશે. આ ઉપરાંત, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ તાલીમ હોલ પણ બનાવવામાં આવશે. સંકુલમાં બહારગામથી આવતા જ્ઞાતિબંધુઓ માટે શિવ વિશ્રામ ગૃહ, તેમજ સામાજિક અને આધ્યાત્મિક પ્રસંગો માટે પ્રાર્થના ખંડ અને ભોજન હોલની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇન્ડિયાની જીત બાદ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ હવે અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફરી રહ્યા છે. દરેક પ્લેયર અલગ અલગ પોતાની રીતે ગાડીમાં એરપોર્ટ સુધી પહોંચ્યા હતા. જેમાં ગઈકાલે સંજુ સેમસન, એમ એસ ધોની જેવા ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. જ્યારે આજે હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયો હતો. આ ઉપરાંત અભિષેક શર્મા પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને માહીકા શર્મા હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. તેમજ હાર્દિકે માહીકાના ખભે હાથ રાખ્યો હતો. બન્નેએ વ્હાઇટ ટી-શર્ટનું મેચિંગ પણ કર્યું હતું. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 96 રને જીતી હતી. ટીમ ઇન્ડિયા જીત પહેલા મોટેરા સ્ટેડિયમ ની પાસે આવેલ હનુમાન ટેકરી દાદા ના દર્શન કરવા માટે પહોંચી હતી. જીત બાદ પણ ટ્રોફી લઈને ટીમ ઇન્ડિયા સાથે જય શાહ પણ હનુમાન ટેકરી દાદાના દર્શન ખાતે પહોંચ્યા હતા. વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે મેદાન પરની રમત કરતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના વીડિયો વાઇરલ થતા જ નેટિઝન્સે તેને આડેહાથ લીધો હતો. એક તરફ ફેન્સ તેની રમતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ માહિકા સાથે તેનો સ્ટેડિયમમાં રોમાન્સ અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો ફરી વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને 'અટેન્શન'માં રહેવાની આદત છે. હાર્દિકનો માહિકા સાથે રોમાન્સમેચ જીત્યા બાદ સ્ટેડિયમમાં બંનેએ જીતનું સેલિબ્રેશન કર્યું હતું. માહિકાએ હાર્દિકને કિસ કરી. કપલ એકબીજાનો હાથ પકડીને સ્ટેડિયમ વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા. પણ આ શું...દેશી-વિદેશી મીડિયાની હાજરીમાં કપલે કંઈક એવું કર્યું, જેના કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક અને માહિકા ટી20 વર્લ્ડ કપના સ્ટેજ પર જ સૂઈ ગયા. એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન માટે બનેલા પોડિયમ પર જ કપલનો રોમાન્સ શરૂ થઈ ગયો. તેમના આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાઇરલ વીડિયોમાં ચારેબાજુ જીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે.. બધા પોતાના પરિવાર સાથે ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે. આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છે. પરંતુ હાર્દિક-માહિકા બધાની ચિંતા છોડીને એકબીજામાં વ્યસ્ત દેખાયા. તેઓ સ્ટેડિયમમાં બનેલા પોડિયમ પર રોમેન્ટિક થતા દેખાયા. હાર્દિક અને માહિકા બંને પોડિયમ પર સૂતેલા છે. એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત છે. ક્રિકેટર પોતાની લેડીલવના પ્રેમમાં ખોવાયેલા છે. આ પછી તેઓ ઊઠે છે અને વાતોમાં મશગૂલ થઈ જાય છે. ટ્રોલ થયો હાર્દિક પંડ્યાઆ કપલની લવિંગ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે. પરંતુ આ વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો ભડક્યો છે. યુઝર્સનું કહેવું છે કે કપલે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જાહેરમાં આટલું નજીક રહેવું યોગ્ય નથી. યુઝર્સે હાર્દિક અને માહિકાના રોમાન્સને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. તેમને આમ સ્ટેડિયમમાં હદો પાર કરતા જોઈને એક વ્યક્તિએ લખ્યું- આમને બિલકુલ વિરાટ-અનુષ્કા સાથે સરખાવશો નહીં. બીજાએ લખ્યું- આ બધું ઘરે જઈને કરો, મેચ પરિવાર પણ જોઈ રહ્યો છે. કોઈએ લખ્યું - તેમને કેટલું અટેન્શન જોઈએ છે. તેમને ખબર છે કે ઘણા કેમેરા તેમને કેપ્ચર કરી રહ્યા છે. તેમની ઓવરએક્ટિંગ ચાલુ છે. કોઈએ કહ્યું - ભલે તેઓ વિરાટ-અનુષ્કા બનવાની લાખ કોશિશ કરી લે, પણ ક્યારેય બની શકશે નહીં. ઇન્ટરનેટ યુઝર્સે હાર્દિકના વારંવાર પ્રેમમાં પડવાની મજાક પણ ઉડાવી છે. ટ્રોલિંગ વચ્ચે હાર્દિકનો નતાશા સાથેનો વીડિયો પણ વાઇરલ થયો ઇન્ટરનેટ પર હાર્દિકનો તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સાથેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોમેન્ટિક થઈ રહ્યો છે. તે નતાશાને કેમેરા સામે કિસ કરી રહ્યો છે. તેને ભેટી રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝરે કહ્યું કે હાર્દિક ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેક ગર્લફ્રેન્ડ તો ક્યારેક પત્ની સાથે રોમેન્ટિક થાય છે. તે જાણી જોઈને આવું કરે છે. યુઝરે ક્રિકેટરની આને સસ્તી યુક્તિઓ ગણાવી. હાર્દિકનો વધુ એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે નતાશાના વખાણ કરતા કહે છે કે પત્નીએ તેને સોલ્યુશન શોધતા શીખવ્યું છે. જીવનમાં વધુ હાંસલ કરવાનો જુસ્સો તેને નતાશા પાસેથી મળ્યો છે. તેનાં કારણે જ તે ધૈર્ય રાખતા શીખ્યો છે. આ સમાચાર પણ વાંચો… PHOTOS- VIDEOSમાં જુઓ T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, જીત પછી સુનીલ ગાવસ્કરનો ડાન્સ; PAK ખેલાડી બહાર થવા પર રડ્યો T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…
જૂનાગઢ જિલ્લામાં પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન પશુધનને ગંભીર બીમારીઓથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશુઓમાં પાયમાલી સર્જતા અને દૂધ ઉત્પાદન પર સીધી અસર કરતા અત્યંત ચેપી એવા 'ખરવા-મોવાસા' (Foot and Mouth Disease - FMD) રોગને જડમૂળથી નાથવા માટે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં એકસાથે રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાન માત્ર કાગળ પર મર્યાદિત ન રહે તે માટે આ વખતે તંત્રએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પારદર્શક પદ્ધતિ અપનાવી છે. નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) હેઠળ હાથ ધરવામાં આવેલા આ આઠમા રાઉન્ડની શરૂઆત 1 લી માર્ચથી કરવામાં આવી છે, જે આગામી 15 મી એપ્રિલ સુધી સતત દોઢ મહિના સુધી ચાલશે. જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ. ડી.ડી. પાનેરાના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના અંદાજે 3,20,600 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરીને વેગ આપવા માટે સમગ્ર જિલ્લામાં 168 જેટલી નિષ્ણાત ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમાં 150 થી વધુ પશુપાલન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. આ વખતે વહીવટી તંત્રએ રસીકરણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે વેઠ ઉતારવાની નીતિ ન ચાલે તે માટે 'ડિજિટલ હથિયાર'નો ઉપયોગ કર્યો છે. દરેક પશુને અપાતી રસીની નોંધણી 'ભારત પશુધન પોર્ટલ' પર રિયલ ટાઈમમાં કરવામાં આવી રહી છે. પશુપાલકોએ રસીકરણ સમયે પોતાનો આધાર નંબર અને મોબાઈલ પર આવતો OTP આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.આ પદ્ધતિને કારણે કામગીરીમાં સો ટકા પારદર્શિતા આવશે અને કયા પશુને રસી મળી છે તેની સચોટ વિગત ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી કોઈ પણ પશુ રસી વગર બાકી રહેવાની શક્યતા નહીવત બની જશે. સમગ્ર કામગીરીના સુપરવિઝન માટે 8 જેટલા વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ડેરી સંઘના વેક્સિનેટર્સ હવે સીધા પશુપાલકોના આંગણે જઈને પશુઓને રસી મૂકી રહ્યા છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રનો કડક આદેશ છે કે એકપણ પશુ આ સુરક્ષા ચક્રમાંથી વંચિત રહેવું જોઈએ નહીં. ખરવા-મોવાસા રોગ એ 'એફ્થો વાયરસ' દ્વારા ફેલાતો અત્યંત ગંભીર રોગ છે, જે મુખ્યત્વે બે ફાટવાળી ખરી ધરાવતા પશુઓને અસર કરે છે. આ રોગમાં પશુને તીવ્ર તાવ આવે છે, મોઢામાં અને જીભ પર ચાંદા પડી જાય છે, જેના કારણે પશુ ખોરાક લઈ શકતું નથી. વધુમાં, પશુની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડતા તે લંગડાતું થઈ જાય છે. જોકે આ રોગમાં મૃત્યુદર ઓછો છે, પરંતુ તે પશુની ઉત્પાદકતાનો નાશ કરે છે. દૂધાળા પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા એકાએક ઘટી જાય છે અને પશુઓમાં વંધ્યત્વ જેવી સમસ્યાઓ સર્જાય છે, જે પશુપાલકને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. ભારત સરકારનો લક્ષ્યાંક છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાંથી ખરવા-મોવાસા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ રોગ મુક્ત થવાથી ભારતીય દૂધ અને તેની બનાવટોની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વધશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. આ જ કારણસર રસીકરણને જ શ્રેષ્ઠ ઇલાજ માનવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા દર છ મહિને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. ડૉ. પાનેરાએ જિલ્લાના તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરી છે કે જ્યારે ટીમ ગામમાં આવે ત્યારે પશુઓને રસી અપાવવી અને જો ટીમ ન પહોંચી શકે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પશુધનનું રક્ષણ કરવું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસે થોડા સમય પહેલા જ અલગ-અલગ સમિતિઓની પણ જાહેર કરી હતી. જો કે, હવે કોંગ્રેસ આગામી 11 માર્ચથી તાલુકા, જિલ્લા અને મહાનગરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. 11 માર્ચથી લઈને 20 માર્ચ સુધી ઉમેદવારી કરવા માંગતા લોકોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા QR કોડ મારફતે ઉમેદવારી કરવા માંગતા લોકોની અરજી મંગાવવામાં આવી છે. QR કોડ પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક લેવલે ઉમેદવારોની પસંદગી, પ્રદેશ કક્ષાએથી દખલગીરી ન કરવા નિર્ણય15 મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો QR કોડ સ્કેન કરીને પણ અરજી કરી શકશે. જે બાદ સ્થાનિક લેવલ પર ઉમેદવારોની સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વખતે સ્થાનિક લેવલ પર જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી કોઈપણ દખલગીરી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના આદેશ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50 ટકા યુવા ઉમેદવારોને મેદાને ઉતારવાની છે. જે લોકોની ઉંમર 50 કરતા ઓછી હશે તેવા ઉમેદવારોને 50 ટકા બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે. મેયરની જાહેરાત પણ ચૂંટણી પહેલાં કરવાની તૈયારીજો કે, યુવા કોંગ્રેસની માગ હતી કે, 20 ટકા બેઠક પર યુવાનોને ઉમેદવારી કરવાની તક આપવામાં આવે, પરંતુ રાહુલ ગાંધીના આદેશ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠક પર 50 વર્ષ કરતા ઓછી ઉંમરના યુવાઓને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં 50 ટકા બેઠકો મહિલાઓને ટિકિટ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસનું શાસન આવશે તો મેયર કોણ હશે તેની પણ જાહેરાત ચૂંટણી પહેલા કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે. ભાજપના ભ્રષ્ટાચાર સામે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના સ્લોગન સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક પર ચૂંટણીઆખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. SIRની પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થયો હતો. 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતમાં 1084 બેઠક, 262 તાલુકા પંચાયતમાં 5214 બેઠક, 83 નગરપાલિકાની 2596 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આગામી સમયમાં 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે. જેના માટેની તમામ કક્ષાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકામાં જઈને લોકો સાથે સંવાદ અને કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. લોકોનો મેનિફેસ્ટો બને તે માટે લોકોના ઘરે જઈને તેમના સૂચનાઓ લેવામાં આવ્યા હતા, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને રૂબરૂ બોલાવી સાંભળવામાં આવશેઃ અમિત ચાવડાઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે. તેમજ 11 માર્ચથી 20 માર્ચ સુધી તમામ જગ્યા પર સંભવિત ઉમેદવારોને રૂબરૂ બોલાવીને પેનલ તૈયાર કરવામાં આવશે. આખા ગુજરાતના તમામ મહાનગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભાવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. ‘બોગસ મતદાર યાદીના આધારે જ 20 વર્ષ ચૂંટણીઓ થઈ’ મતદાર યાદીને પ્રક્રિયાને સવાલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે SIRની પ્રક્રિયા થઈ તે પહેલાં જ અમે કહેતા હતા કે, ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી. એમા મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. જ્યારે SIRની યાદી બહાર પડી અને સ્પષ્ટ થયું કે, મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતા હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી. SIR પછી જે મતદાર યાદી બહાર પાડી છે, તેમાં 70 લાખ જેટલા મતદારો નામ કમી થયા એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં ચૂંટણીઓ થઈ તે બોગસ મતદાર યાદીના આધારે જ થતી હતી. ‘ચારેબાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે’વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે ત્યારે હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસાની લૂટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાક્ષકો કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય. રેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય. સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે વઢવાણ સ્થિત મંગલ ભવન ખાતે જિલ્લા સ્તરીય 'મહિલા સંમેલન'નું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. સમાજમાં યોગદાન આપનાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બનેલી મહિલાઓનું સન્માન અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે. તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જેથી છેવાડાની મહિલાઓ પણ યોજનાઓનો લાભ લઈ સશક્ત બની શકે. સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. આ સાથે, 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ અને 'દીકરી વધામણા કીટ' સહિતના લાભાર્થીઓને મંજૂરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરી વિભાગની યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની મોટી સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પારો વધુ ઊંચો જવાની અને હીટવેવની પ્રબળ શક્યતાઓને જોતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે. આરોગ્ય અધિકારી દ્વારા એક વિસ્તૃત અખબારી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૂર્યના પ્રકોપથી બચવા લોકોને જરૂરી કામ સિવાય બપોરનાં સમયે બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું અને શું ન કરવું તેની ઝીણવટભરી વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ ગરમી જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાઇડ્રેશન અને આહાર પર વિશેષ ભારઆરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સતત હાઇડ્રેટેડ રહેવું અનિવાર્ય છે. તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ. મુસાફરી દરમિયાન પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. ઘરે બનાવેલા કુદરતી પીણાં જેવા કે લીંબુ પાણી, છાસ, લસ્સી અને ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) નો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. આહારમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ અને અનાનસ તેમજ કાકડી જેવા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જોકે, ઉચ્ચ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પાચનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પહેરવેશ અને જીવનશૈલીમાં ફેરફારડો. વાંકાણીનાં જણાવ્યા મુજબ ભારે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે હળવા રંગના, સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવાની જોઈએ. બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવા માટે છત્રી, ટોપી કે ટુવાલનો ઉપયોગ કરવો અને પગમાં ચંપલ કે બૂટ પહેરવા જરૂરી છે. બપોરે 12:00 થી 03:00 ના સમયગાળા દરમિયાન, જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરની બારીઓ અને પડદા દિવસ દરમિયાન બંધ રાખીને ઘરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો અને રાત્રિના સમયે હવાની અવરજવર માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જોખમી જૂથો અને સાવચેતીવધુમાં તેમણે જણાવ્યું કે, હીટવેવ અમુક વર્ગો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જેમાં શિશુઓ, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, માનસિક કે શારીરિક બીમારી (ખાસ કરીને હૃદય રોગ કે હાઈ બ્લડ પ્રેશર) ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે લોકો બહાર મજૂરી કામ કરે છે અથવા ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં આવે છે તેમને ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો એકલા રહેતા વૃદ્ધોના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ કરવું પણ જરૂરી છે. પાર્ક કરેલા વાહનોમાં ક્યારેય બાળકો કે પાલતુ પ્રાણીઓને એકલા છોડવા નહીં, કારણ કે બંધ વાહનનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે જીવલેણ બની શકે છે. રોજગારદાતાઓ અને કામદારો માટે સૂચનાઓજે એકમોમાં કામદારો ખુલ્લામાં કે ગરમીમાં કામ કરે છે, ત્યાં રોજગારદાતાઓએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને દર 20 મિનિટે પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કાર્યસ્થળ પર શેડ કે આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવી અને સખત પરિશ્રમ વાળા કામો વહેલી સવાર કે મોડી સાંજ સુધી મર્યાદિત રાખવા જોઈએ. દર 1 કલાકના સખત કામ પછી 5 મિનિટનો આરામ આપવો આવશ્યક છે. તેમજ કાર્યસ્થળ પર ફર્સ્ટ એઇડ કીટ અને ઇમરજન્સી પ્લાન તૈયાર રાખવા અને કોઈ કામદારોમાં હીટસ્ટ્રોકના લક્ષણો ઓળખવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવા જોઈએ. ઇમરજન્સી સારવારઅંતમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ગરમીના કારણે અસ્વસ્થ જણાય, તો જરાપણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડવી, તેના કપડાં પર ઠંડુ પાણી છાંટવું અને પવન નાખવો. સ્થિતિ ગંભીર જણાય તો વિલંબ કર્યા વગર નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા પણ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
મહિલા દિવસની અનોખી ઉજવણી:પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠને ફિલ્મ જોઈને મનાવ્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂજા ઉમિયા માતાજી મહિલા સંગઠન અને મેમનગર સિનિયર સિટીઝનની બહેનોએ એક અનોખી રીતે ઉજવણી કરી. આ બહેનોએ 'બેહદ' ફિલ્મ જોઈને આ દિવસની ઉજવણી કરી હતી. આ ફિલ્મના સ્પોન્સર ઊંઝા ઉમિયા માતાજી મહિલા સંગઠનના પ્રમુખ જાગૃતિબેન પટેલ હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા છે અને 'મા દીકરી સંમેલન' જેવા કાર્યક્રમો પણ યોજે છે. તેમણે પોતાની સાથે કામ કરતી તમામ મહિલાઓને આ ફિલ્મ જોવા માટે ખાસ લાભ આપ્યો હતો. આ કાર્યક્રમમાં હેત હેલ્પીંગ હેન્ડ ટ્રસ્ટના હેતલબેન વિશેષ આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત અન્ય ઉપસ્થિત બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારે ફિલ્મ જોઈને મહિલા દિવસની ઉજવણી કરવાનો અનુભવ સૌ માટે આનંદદાયક અને યાદગાર રહ્યો હતો.
સુરત ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇસમને ગાંજાના જથ્થા અને લાખોની રોકડ રકમ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાન અને બીડીના ગલ્લાની આડમાં આ નશાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પ્રભુનગરમાં પાનના ગલ્લાની આડમાં ચાલતું હતું નશાનું નેટવર્કસુરત શહેરમાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઉધના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રભુનગર વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાના છૂટક વેચાણ સાથે સંકળાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રભુનગર પ્લોટ નંબર 192 ખાતે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી નશાનો સામાન અને મોટી માત્રામાં રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી પોતાની રોજગારીના નામે પાન-બીડીનો ગલ્લો ચલાવતો હતો. સામાન્ય ગ્રાહકોની ભીડ વચ્ચે તે નશાના બંધાણીઓને ચૂપકેથી ગાંજો સપ્લાય કરતો હતો. રહેણાંક વિસ્તારમાં પાનના ગલ્લાની આડમાં ચાલતા આ ગોરખધંધાને કારણે સ્થાનિક યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપી પાસેથી 148 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1400 રૂપિયા જેટલી થાય છે. 6.56 લાખથી વધુની રોકડ ને મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી આવી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6,56,350 રૂપિયાની રોકડ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમ ગાંજાના વેચાણ દ્વારા જ એકઠી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રૂ. 7000ની કિંમતનો 1 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ, પોલીસે કુલ 6,73,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, મૂળ ઉત્તર પ્રદેશનો છે આરોપીઝડપાયેલા આરોપીની ઓળખ 41 વર્ષીય દીપકસિંહ ફોજદારસિંહ રાજપુત તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો વતની છે અને હાલ ઉધનાના પ્રભુનગરમાં રહી વેપાર કરતો હતો. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે.
ગીરસોમનાથમાં માર્ચમાં જ 41 ડિગ્રી તાપમાન:હીટવેવની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
ગીર સોમનાથ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. તાલાલા અને ગીર ગઢડા વિસ્તારમાં મહત્તમ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે કોડીનાર અને ઉના તાલુકામાં 37 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. માર્ચ મહિનામાં જ આટલું ઊંચું તાપમાન નોંધાતા હવામાન નિષ્ણાતો આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ગરમીના વધતા પ્રભાવને કારણે બપોરના સમયે શહેરો અને ગામડાંઓમાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં વ્યસ્ત રહેતા બજારો અને જાહેર સ્થળોએ પણ બપોરના સમયે ભીડ ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ, ઠંડા પીણાં, છાશ, ગોળી સોડા અને આઈસક્રીમની દુકાનો પર ગ્રાહકોની અવરજવર વધી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લોકોને બપોરના સમયમાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતો પણ ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ખુલ્લા મેદાનમાં કામ કરતા મજૂરોને બપોરના તીવ્ર તાપમાં બહાર કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે. માર્ચના પ્રારંભમાં જ આટલી ગરમીનો અનુભવ થતાં, ગીર સોમનાથ જિલ્લામાં લોકો આગામી મહિનાઓમાં ઉનાળો કેવો રહેશે તેની ચર્ચા કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં પણ તાપમાનમાં આ જ રીતે વધારો ચાલુ રહેશે, તો એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધુ તીવ્ર બની શકે છે.
પાટણ જિલ્લાના યુવક-યુવતીઓને રોજગારીની તક પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓની સહભાગિતામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ ભરતી મેળો બુધવાર, 11 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે યોજાશે. તેનું સ્થળ એચ.એન.જી. યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પ્રથમ માળ, સુવિધા ભવન રહેશે. આ મેળામાં BSS Sonata Microcredit Ltd. (Kotak Mahindra Bank), અમદાવાદ અને Lifesurge Healthcare Pvt. Ltd., પાટણ જેવી ખાનગી સંસ્થાઓ ભાગ લેશે. તેઓ ફિલ્ડ ઓફિસર, બેંક ઓફિસ વર્ક, મશીન ઓપરેટિંગ અને ટેક્નિશિયન સહિતની વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. આ ભરતી મેળામાં 18થી 35 વર્ષની વયમર્યાદાના ઉમેદવારો ભાગ લઈ શકશે. ધોરણ 10/12 પાસ, ITI (તમામ ટ્રેડ) અને ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે. તેઓએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને 3 થી 4 બાયોડેટાની નકલો સાથે લાવવી ફરજિયાત છે. નોંધનીય છે કે, રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો www.anubandham.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, તેમ પાટણના રોજગાર અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ સન્માનિત
ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અને IAS નેહા બ્યાડવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને મીલેટ્સ કીટ આપી સન્માનિત કરાયા હતા. IAS નેહા બ્યાડવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહી છે. આ પ્રસંગે મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. જેમાં 11 દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના'ના મંજૂરી હુકમ, 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું પણ સન્માન કરાયું હતું. ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારી, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયત નેતૃત્વ માટે રશીલા સુનીલભાઈ વસાવા તેમજ આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી માટે વૈશાલી મેહુલકુમાર પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાઈફલ શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને સાઈલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત એટોમેડિટ ડ્રગ્સ જેને સ્પેસ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો જથ્થો ભારતથી ખોટું લેબલ લગાવીને મોકલનાર બીજા બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યાગુજરાત ATSને બાતમી મળી હતી કે, મુંબઈ એરપોર્ટથી ઓટોમેટીક પાવડરનો જથ્થો થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી ATSએ ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. જે બાદ તપાસમાં ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો મળી આવ્યોATSએ સુરતથી ચેતન અને ભૌતિકની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ ત્રણેય આરોપીઓ પોતપોતાની અલગ અલગ ફાર્મા કંપનીના આધારે ઓટોમેટીક ડ્રગ્સ ખરીદતા હતા અને તેને ખોટું લેબલ લગાવીને અલગ અલગ દેશોમાં સપ્લાય પણ કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 100 કિલોથી વધુ સપ્લાય પણ કર્યું છે. ત્રણેયની હાલ ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમે મુંબઈમાં તપાસ કરતા એરપોર્ટ પરથી 22 કિલો જથ્થો પણ મળી આવ્યો છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકેએટોમેડિટ ભારતમાં હાલ પ્રતિબંધિત નથી, કારણ કે મેડિકલમાં એનેથેસિયામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં આ પ્રતિબંધિત ડ્રગ્સ છે. આ ડ્રગ્ નો ઉપયોગ ત્યાં લોકો નશો કરવા માટે કરે છે. એટોમેટીટને વિદેશમાં સ્પેસ ઓઇલના નામથી પણ ઓળખાય છે. કારણકે એકવાર તેનો નશો કર્યા બાદ ઉડવાની ફીલિંગ લોકો લેતા હોય છે. વધુ પડતા સેવનના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
નવસારીના કોથમડીમાં ત્રણ દીપડાના બચ્ચા દેખાયા:મોડી રાત્રે લટાર મારતો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોથમડી ગામે મોડી રાત્રે એકસાથે ત્રણ દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા કોથમડી ગામમાં શેરડીના ખેતરો અને કોતરો દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બન્યા છે. ગત મોડી રાત્રે ગામના સીમ વિસ્તારમાં ત્રણ દીપડાના બચ્ચા રસ્તા પર અને ખેતરની વાડ પાસે લટાર મારતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય કોઈ રાહદારી અથવા ખેડૂતના કેમેરામાં કેદ થયું હતું. છેલ્લા કેટલાક સમયથી નવસારીના કાંઠા વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વન વિભાગના મતે, આ વિસ્તારમાં છુપાવવાની જગ્યા અને ખોરાક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી દીપડાઓ અહીં વસવાટ કરે છે. કોથમડી, મટવાડ અને આસપાસના ગામોમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામાન્ય બની છે. એકસાથે ત્રણ બચ્ચા દેખાતા તેમની માદી દીપડા પણ આસપાસ હોવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત માટે જતા ખેડૂતો સાવચેતી રાખી રહ્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વડાની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ઓ.જી.ના પીઆઇ આર.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને ગુનેગારો પર વોચ રાખવામાં આવી રહી છે, જેના પરિણામ સ્વરૂપે પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા જુગારધારા કલમ 4 અને 5 મુજબના ગંભીર ગુનામાં છેલ્લા 10 વર્ષથી એક શખ્સ પોલીસની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા અને વિક્રમભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા પોલીસને હકીકત મળી હતી કે અમદાવાદ અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી. ઉર્ફે મુકેશ મોર્ડન કેવલરામ કપુર હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા માંગરોળના કાજી ફળીયા વિસ્તારમાં આવેલા સીટી સેન્ટર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 304 માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન 48 વર્ષીય મુકેશ ઉર્ફે એમ.ડી. પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છેલ્લા એક દાયકાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી.નો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જુગારધારાના પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત માંગરોળ મરીન પોલીસ સ્ટેશન અને કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આમ, કુલ આઠ જેટલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આ રીઢા ગુનેગારને પકડી પાડીને જૂનાગઢ પોલીસે ગુનાખોરીના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમારની સાથે એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા, વિક્રમભાઈ ચાવડા, ઇરફાનભાઈ રૂમી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અગેડ, રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરીને આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરના અધ્યક્ષ સ્થાને વડોદરાના સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલ ખાતે 'મહિલા મહા જનસુનાવણી’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા કમિશનર અને રૂરલ વિસ્તારના 15 કેસોને સાંભળવામાં આવ્યા હતા. જેમાંથી 12 કેસોનો સફળતા પૂર્વક નિકાલ અને 2 કેસો આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. રાજ્યભરમાં મહિલા મહા જનસુનાવણી યોજીઅધ્યક્ષ સ્થાનેથી વિજયા રાહટકરએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી મહિલાઓ તરફથી લાખો ફરિયાદો આયોગમાં નોંધાઈ રહી છે અને ક્યારેક કેસોમાં ન્યાય આપવામાં વિલંબ થઇ જાય છે. ઘણી મહિલાઓ સીધી રીતે આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી આયોગ મહિલાઓ સુધી જાતે પહોંચે તે હેતુથી 'આયોગ આપને દ્વાર' અભિગમ સાથે દરેક જિલ્લામાં મહિલા મહા જનસુનાવણી યોજી રહ્યા છે. એક વર્ષમાં 100 જનસુનાવણીઓ યોજાઈતેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આશરે 100 જેટલી જનસુનાવણીઓ યોજાઈ ચૂકી છે અને આ અઠવાડિયામાં અંદાજે 500 સુનાવણીઓ વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં 139 કેસો નોંધાયા હતા, જેમાંથી હાલ 91 કેસો પેન્ડિગ છે જેના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક તંત્ર દ્વારા સુનાવણીનું સુદ્રઢ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અધિકારીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પુરુ પડ્યુંઆ સુનાવણીમાં અધ્યક્ષએ મહિલાઓ દ્વારા કરેલી ફરિયાદોની સુનાવણી કરવાની સાથે સાથે ગંભીર કેસોની નોંધણી, કાનૂની માર્ગદર્શન અને લગણીસભર પ્રક્રિયાત્મક સહાય સુનિશ્ચિત કરી કરી હતી. સાથે ઉપસ્થિત પોલીસ વિભાગ, વકીલશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પુરુ પડ્યું હતું. મહિલાઓને ફરિયાદો રજૂ કરવા અને સહાય મેળવવા માટે એક મંચઆ જનસુનાવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પોતાની ફરિયાદો રજૂ કરવા તથા સંસ્થાકીય સહાય મેળવવા માટે એક સીધું અને સરળ મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સંકલિત પ્રયત્ન હેઠળ ઘરેલું હિંસા, કાર્યસ્થળે જાતીય સતામણી, માતૃત્વ લાભ, પરિત્યાગ, માનવ તસ્કરી (ટ્રાફિકિંગ) તેમજ અન્ય જાતિ આધારિત અન્યાય અને હિંસા સંબંધિત ફરિયાદો સાંભળવા અને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ જનસુનાવણીમાં મહિલા આયોગ સમિતિના સભ્યો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો તથા પ્રોટેક્શન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં આજથી મત ગણતરી શરૂ થઈ છે. ઇલેક્શનના દિવસે રાત્રે હોબાળા બાદ મતગણતરી ગઈકાલે શરૂ થઈ શકી નહોતી. જો કે ચૂંટણી અધિકારીની ફરિયાદ ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને શૉ કોઝ નોટિસ કાઢી છે. 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતાઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી આજથી શરૂ થઈ છે. CCTV અંતર્ગત બેલેટ બોક્સ ઓપન કરાઈ રહ્યા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ શાંતિપૂર્વક મતગણતરીની આશા વ્યક્ત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માગ કરી હતી.
આગામી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમેદવારોની પસંદગી માટેની શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડની અધ્યક્ષતામાં તમામ 13 વોર્ડના સંભવિત ઉમેદવારો માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, આ પ્રક્રિયા સવારથી રાત્રી સુધી ચાલશે, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિની સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને અત્યંત પારદર્શક રાખવામાં આવી છે જેમાં મેં પોતે પ્રભારીને વિનંતી કરી છે કે તેઓ દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે સાંભળે અને આ પ્રક્રિયા દરમિયાન હું પોતે પણ હાજર રહીશ નહીં, જેથી દરેક દાવેદાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે, શહેર પ્રમુખે ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરની જનતા વર્તમાન ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસનો 100 ટકા વિજય થશે તેવો માહોલ અત્યારથી જ જણાઈ રહ્યો છે. સવારથી જ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, વોર્ડ નંબર 1 થી 13 સુધીના તમામ ઉમેદવારો માટે સવારના 10 થી રાત્રિના 8:30 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે વોર્ડ વાઈઝ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ આ વખતે મનપાની ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હરિભાઈ ભરવાડએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણીના આયોજનના ભાગરૂપે અમે દરેક વોર્ડમાંથી કોણ ઇલેક્શન લડવા માંગે છે, એવા મિત્રોને પર્સનલી મળવા માટેનો એક પ્રોસેસ અમે ચાલુ કર્યો છે,અમારી મહેનત અને કાર્યકર્તાનો ઉત્સાહ એવો છે કે કોર્પોરેશનની કોઈપણ સંજોગોમાં બહુમતી લાવવા માટેના અમારા પ્રયત્નો છે, મુદ્દા તો દરેક વોર્ડમાં જનરલી જુદા જુદા હશે, પણ જનરલ મુદ્દાઓ જે છે કે રોડ, પાણી, વીજળી, ગટર... આના તરફ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી અને 30 વર્ષથી શાસન છે એટલે જે અત્યારના શાસનકર્તાઓ જે છે ને, એને તો જાણે એમ છે કે અમે કઈ કરીએ કે ના કરીએ, પણ આવવાના તો અમે જ છીએ. એટલે લોકોની જે અવગણના થઈ છે ને, એ અવગણનાથી લોકો કંટાળ્યા છે અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે, વ્યૂહરચના તો અમે નહીં કહી શકીએ ટીવી ઉપર, પણ અમારા પ્રયાસ એ રહેવાના છે કે આ વખતે અમે 100 ટકા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમને સફળતા મળે એવી... 'વ્યૂહરચના' શબ્દ હું નથી કહેતો પણ એવી અમારી કોશિશ અને અમારી મહેનત રહેશે.
પંચમહાલ SOG ટીમે 768 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ જપ્ત કરાયેલી એમ્બરગ્રીસની બજાર કિંમત 76 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવી છે. ગોધરા SOGને બાતમીદાર મારફતે મળેલી ચોક્કસ માહિતીના આધારે, ગોધરાના બામરોલી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની હોન્ડા એક્ટિવા બાઇક આવતા તેને રોકવામાં આવી હતી. બાઇકના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેશ રજનસિંહ બારીયા જણાવ્યું હતું. એક્ટિવાની ડેકીમાંથી એક પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં સફેદ કલરની થેલીમાં મુકેલી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સુરેશ બારીયાએ જણાવ્યું કે તેણે આ વ્હેલ માછલીની ઉલ્ટી વડોદરાથી લાવી હતી. તે આ ઉંચી કિંમતની વસ્તુ વેચીને કમિશન મેળવવા ગ્રાહકની શોધમાં હતો. શંકાસ્પદ એમ્બરગ્રીસના પરીક્ષણ માટે FSL અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોધરાની ટીમે સ્થળ પર આવી તપાસ કરી હતી. ત્યારબાદ પકડાયેલા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી આગામી ચૂંટણીમાં યુવા ચહેરાઓને વધુ તક આપવા તરફ આગળ વધી રહી છે. 60 વર્ષથી વધુ વયના નેતાઓની ટિકિટ પર સંકટભાજપના સૂત્રો મુજબ, ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા નેતાઓને આ વખતે ટિકિટ આપવાનો મુદ્દો ફરી વિચારવામાં આવશે અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને પણ ટિકિટ મળવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. આ નિર્ણય અમલમાં આવે તો અનેક અનુભવી કોર્પોરેટરોની રાજકીય ઇનિંગ્સ પર વિરામ લાગી શકે છે. અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ એવા લગભગ 32 કોર્પોરેટરો છે, જેઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાઈ રહ્યા છે અથવા 60 વર્ષથી વધુ વયના છે, જેથી તેમની ટિકિટ પર સંકટ ઊભું થઈ શકે છે. નવા ચહેરાઓને તક મળવાની શક્યતાઅમદાવાદમાં નારણપુરા, રાણીપ, સરદારનગર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, શાહીબાગ, બાપુનગર અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં એવા ઘણા કાઉન્સિલરો છે જે ત્રણ ટર્મથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય છે. જો ભાજપ આ માપદંડ કડક રીતે લાગુ કરે તો આ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતાબીજી તરફ કોંગ્રેસ પણ યુવાનો પર દાવ લગાવવાની તૈયારીમાં છે. પક્ષ દ્વારા સંગઠન અને કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ઉમેદવારી આપવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ કોઈ આયાતી ઉમેદવાર ઉતારવાની શક્યતા પણ ચર્ચામાં છે. શહેરની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી માટે દોડધામ તેજ થઈ છે. જો ભાજપ યુવા નેતૃત્વને આગળ ધપાવવાનો નિર્ણય અમલમાં મૂકે તો આ ચૂંટણીમાં અનેક નવા ચહેરા જોવા મળી શકે છે અને શહેરની રાજનીતિમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે.
તારાપુરના રીંઝામાં નકલી ડોક્ટર ઝડપાયો:પશ્ચિમ બંગાળનો શખસ ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો
તારાપુર તાલુકાના રીંઝા ગામેથી ડિગ્રી વગરના એક નકલી ડોક્ટરને એસઓજી પોલીસ અને ખડા પીએચસીની મેડિકલ ટીમે ઝડપી પાડ્યો છે. આ શખ્સ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે તેની પાસેથી મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, તારાપુર તાલુકાના રીંઝા ગામના મહાદેવ ફળિયામાં ગેરકાયદેસર દવાખાનું ચાલતું હોવાની જાણ થઈ હતી. આ માહિતીના આધારે, પોલીસે ખડા પીએચસીની મેડિકલ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, એક વ્યક્તિ દર્દીઓને એલોપેથી સારવાર આપતો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ શખ્સે પોતાનું નામ મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ જણાવ્યું હતું, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની પાસે ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવાનું તેણે સ્વીકાર્યું હતું. પોલીસે સ્થળ પરથી દર્દીઓની તપાસ માટેના મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શનો સહિત કુલ ₹5201નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવટી ડોક્ટર મિલટોન ઉર્ફે મિલન સાધુ વિરુદ્ધ ગુજરાત મેડિસિન એક્ટની સંબંધિત કલમો હેઠળ તારાપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વ્યારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નારી સશક્તિકરણ પર ભાર, સિદ્ધિવાન મહિલાઓનું સન્માન કરાયું
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. 8 માર્ચના રોજ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીતે ઉપસ્થિત મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. તેમણે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “એક પુરુષને ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ ત્યારે સમગ્ર કુટુંબ ભણે છે.” તેમણે સમાજના વિકાસ માટે મહિલા શિક્ષણની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. “એક સ્ત્રી બે કુળને તારે છે” એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓ તથા તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યાય, વ્યારા પ્રાંત સંદીપ ગાયકવાડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી સુલોચના પટેલ સહિત મહિલા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
નવસારીમાં માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો:પારો 41 ડિગ્રીને પાર, કેરીના પાકને 80% નુકસાનની ભીતિ
નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. પ્રથમ વખત તાપમાનનો પારો 41.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમીના કારણે 'ડબલ સીઝન'નો અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર ખેતી અને ખાસ કરીને કેરીના પાક પર જોવા મળી રહી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ના હવામાન વિભાગના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગરમીની શરૂઆતમાં જ પારો 40 ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. બપોરના સમયે આકરા તાપને કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના લીધે માર્ગો પર નીરવ શાંતિ જોવા મળી હતી. હજી એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા અન્ય આંકડા મુજબ, સવારે ભેજનું પ્રમાણ 91% અને સાંજે 16% હતું, જ્યારે પવનની ગતિ ઉત્તર-પૂર્વ દિશામાંથી 3.2 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલના જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ પડેલા ઝાકળને કારણે આંબાના પાકમાં ફૂગનું નિર્માણ થયું હતું. હવે અચાનક તાપમાન 41 ડિગ્રી પર પહોંચતા કેરીના અપરિપક્વ અને પરિપક્વ બંને પ્રકારના ફળને નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, જો આ પ્રકારનું વિપરીત વાતાવરણ યથાવત રહેશે, તો આ વર્ષે માર્કેટમાં કેરીની આવક પર માઠી અસર પડશે. ગરમી અને રોગચાળાને કારણે અંદાજે 80 ટકા જેટલી કેરી ખરી પડવાની (ઠળવાવાની) સંભાવના છે, જેના કારણે બાગાયતદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
CVMUમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:'મેધા, મૃદુતા અને મમતા' વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાયો
સીવીએમ (CVM) યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા બ્રહ્માકુમારીઝ, વલ્લભ વિદ્યાનગરના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે 'મેધા, મૃદુતા અને મમતા: મહિલા તારા રૂપ અનેક' વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અર્ધદિવસીય કાર્યક્રમ બાકરોલ સ્થિત બ્રહ્માકુમારીઝના 'વર્લ્ડ ઓફ સાયલન્સ' ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન CVMUના ચેરમેન ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ પ્રોફ. (ડૉ.) ઇન્દ્રજીત એન. પટેલની ઉપસ્થિતિમાં થયું હતું. WDCના પ્રમુખ ડૉ. મૌલિકા પટેલ અને ઉપપ્રમુખ ડૉ. પ્રિતી લુહાણાએ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ આયોજનનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા, સર્વાંગી વિકાસ અને ભાવનાત્મક સુખાકારી કેળવવાનો છે. આ પ્રસંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં આશાબેન દલાલ, સરોજબેન ભીખુભાઈ પટેલ, ડૉ. સરિતા ભૂતડા અને બી.કે. (ડૉ.) દામિનીએ ભાગ લીધો હતો. તેમણે મહિલાઓની વિવિધ ભૂમિકાઓ અને આધ્યાત્મિક સંતુલન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર પેનલ ચર્ચાનું સંચાલન નિશા નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે બ્રહ્માકુમારીઝ દ્વારા માર્ગદર્શિત ધ્યાન (Meditation) સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓએ આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો. ચરુતર વિદ્યા મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓની મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવત રાખીને ગઈકાલે રાત્રિના સમયે એક જ પરિવારના 11 જેટલા સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીની સાસરીમાં જઈ તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ વર્ષ પહેલા થયેલા પ્રેમલગ્નનો ખાર રાખી હુમલો કરાયોગાંધીનગરના મોટી આદરજ ગામમાં રહેતા વિરમજી કાકુજી ઠાકોરે નોંધાવેલી વિગતો મુજબ, તેમના મોટા દીકરા પરબતજીએ ત્રણ વર્ષ પહેલાં તેમના જ કુટુંબી ભાઈ મોબતજી કલાજી ઠાકોરની દીકરી અંજના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી કલોલ ખાતે રહેતું હતું.પરંતુ પાંચ દિવસ પહેલાં દીકરાની બાધા પૂરી કરવા માટે તેઓ વતન મોટી આદરજ આવ્યા હતા. આ વાતની જાણ થતા જ ઉશ્કેરાયેલા સાસરી પક્ષના લોકોએ રાત્રિના સમયે હુમલો કરી દીધો હતો. જ્યારે પરિવાર જમીને બેઠો હતો ત્યારે મોબતજી ઠાકોર અને તેમના સાથીદારો હાથમાં તલવાર, લાકડીઓ અને ધોકા લઈને વિરમજીના ઘરે પહોંચ્યા હતા. બાદમાં હુમલાખોરોએ અમારી દીકરી અંજનાને બહાર કાઢો, આજે તો તમને જાનથી મારી નાખવા છે તેવી ધમકીઓ આપી ગાળાગાળી શરૂ કરી હતી. જેના પગલે પરિવારે અંજનાને બચાવવા માટે રૂમમાં પૂરી દીધી હતી, પરંતુ હુમલાખોરોએ વિરમજી અને તેમના પત્ની, દીકરા અને વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ઓસરીમાં ખેંચી લાવી ઘાતકી હુમલો કર્યો હતો. એક જ પરિવારના પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, એક ગંભીરઆ હુમલામાં મોબતજીએ તલવારના ઘા ઝીંકતા વિરમજીના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમના દીકરા પરબતજીને માથામાં તલવાર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. તો 80 વર્ષીય કાકુજી ઠાકોરને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આટલેથી નહીં અટકેલા હુમલાખોરોએ અલ્ટો ગાડીના કાચ તોડી પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી કલાજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સહિત કુલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પોષણ જાગૃતિ વધારવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ‘પોષણ શક્તિ – ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ’ નામની ડિજિટલ બુકલેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ બુકલેટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ ડિજિટલ બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકોને મળતા ‘ટેક હોમ રાશન’ તથા ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) નો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે સરળતાથી બનાવી શકાય તેવી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ્ય કિશોરીઓ, બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવાનો અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આવી પહેલ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ‘શ્રી અન્ન’ અને ‘ટેક હોમ રાશન’નો યોગ્ય ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાથી કિશોરીઓ, બાળકો અને માતાઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો શક્ય બનશે. આ બુકલેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં જિલ્લાના આંગણવાડી કાર્યકરો દ્વારા સ્થાનિક સ્તરે બનાવાતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ ડિજિટલ બુકલેટ આંગણવાડી કાર્યકરો તેમજ લાભાર્થીઓ માટે એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગી બનશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરે તમામ આંગણવાડી કાર્યકરો, કર્મચારીઓ, લાભાર્થીઓ અને નાગરિકોને આ ડિજિટલ બુકલેટનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા વિનંતી કરી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી તેની માહિતી પહોંચી શકે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ જંગનો રોમાંચ માત્ર મેદાન પર જ નહીં, પણ પાટા પર દોડતી ટ્રેનોમાં પણ જોવા મળ્યો હતો. મુંબઈ અને પુણેથી અમદાવાદ પહોંચવા માટે ક્રિકેટ ચાહકોએ રેલવેને પ્રાધાન્ય આપતા પશ્ચિમ અને મધ્ય રેલવેની તિજોરી છલકાઈ ગઈ છે. માત્ર બે દિવસમાં દોડાવવામાં આવેલી 5 વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેનો દ્વારા રેલવેએ અંદાજે રૂપિયા 70 લાખની મબલખ આવક મેળવી છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં કુલ 5318 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં સુરતથી બોર્ડિંગ કરનારા 700 જેટલા ક્રિકેટ રસિકોનો પણ સમાવેશ થાય છે. રેલવે પ્રશાસન દ્વારા ફાઈનલ મેચના પ્રેક્ષકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ બાંદ્રા ટર્મિનસ, સીએસએમટી ટ્રેનોનું કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી બે અને બાંદ્રાથી એક ટ્રેન દોડાવી હતી, જેમાંથી રૂપિયા ૫૨.૭૪ લાખની આવક થઈ હતી. મધ્ય રેલવે દ્વારા CSMT અને પુણેથી વાયા સુરત થઈને દોડાવવામાં આવેલી બે ટ્રેનો દ્વારા રૂપિયા 16.78 લાખની આવક થઈ હતી. આમ, તમામ ટ્રેનો 100 ટકા ક્ષમતા સાથે એટલે કે 'હાઉસફુલ' દોડી હતી. આ સ્પેશિયલ ટ્રેનો ગત 7 અને 8 માર્ચના રોજ દોડાવવામાં આવી હતી. 8 માર્ચે ફાઈનલના દિવસે સવારે મુંબઈ સેન્ટ્રલથી ઉપડેલી ટ્રેનમાં સૌથી વધુ 1454 મુસાફરો નોંધાયા હતા. 7 માર્ચના રોજ વિવિધ સ્ટેશનોથી અમદાવાદ પહોંચવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. સુરત સ્ટેશન પણ આ કમાણીનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હતું, કારણ કે દક્ષિણ ગુજરાતના ક્રિકેટ ચાહકોએ આ ટ્રેનોમાં અગાઉથી જ બુકિંગ કરાવી લીધું હતું. સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી આ પાંચેય ટ્રેનોમાં સુરતીઓનો દબદબો જોવા મળ્યો હતો. સુરતથી અંદાજે 700 જેટલા મુસાફરો આ સ્પેશિયલ ટ્રેનોમાં સવાર થઈ અમદાવાદ મેચ જોવા પહોંચ્યા હતા. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટૂંકા ગાળાની નોટિસ પર ચલાવવામાં આવેલી આ ટ્રેનોને મુસાફરોની અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત માત્ર વેપાર જ નહીં, પણ કલા અને સંસ્કૃતિ માટે પણ જાણીતું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલું અને શહેરની શાન ગણાતું સંજીવકુમાર ઓડિટોરિયમ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ આધુનિક ઓડિટોરિયમના રિનોવેશન માટે 23.41 કરોડની સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઓડિટોરિયમ 2014મા 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, હવે 23.41 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે. શા માટે રિનોવેશનની જરૂર પડી?છેલ્લા કેટલાક સમયથી આ ભવનની હાલત ચિંતાજનક બની હતી. પાલિકાના સત્તાવાર દસ્તાવેજો મુજબ, 17 નવેમ્બર, 2024ના રોજ પ્રેક્ષાગૃહના પાછળના ભાગની ફોલ્સ સીલિંગ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ 10 માર્ચ, 2025ના રોજ સ્ટેજ પાસે છતની ગ્લાસવૂલની સીટો પણ નીચે પડી હતી. આ ઉપરાંત, ટેરેસ પરના પતરામાં કાણાં પડી જવાથી ચોમાસા દરમિયાન પાણીનું લીકેજ થતું હતું, જેના કારણે સીલિંગ અને ફર્નિચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને કન્સલ્ટન્ટ શ્રી વી-ક્રિએટ દ્વારા આખું ઓડિટોરિયમ નવેસરથી તૈયાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સિવિલ વર્ક માટે સૌથી વધુ 7.09 કરોડનો ખર્ચ કરાશેનવી દરખાસ્ત મુજબના ખર્ચની વિગતો જોઈએ તો, સૌથી વધુ રકમ સિવિલ વર્ક માટે 7.09 કરોડ ફાળવવામાં આવી છે, જ્યારે ઇન્ટિરિયર વર્ક માટે 5.07 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. પ્રેક્ષકોની સુવિધા માટે નવી ખુરશી નાખવા પાછળ 83.80 લાખ અને સમગ્ર ભવનને ઠંડુ રાખતી એચવીએસી (એસી) સિસ્ટમ પાછળ 1.33 કરોડ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત, સ્ટેજ લાઈટિંગ માટે 86.69 લાખ, સ્ટેજ ડ્રેપરી માટે 46.90 લાખ અને અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ માટે 37.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 22.59 લાખની નવી ફાયર સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ કામો માટે 77.88 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 2014ના મોદી હસ્તે કરાયું હતુંસુરતના વતની અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સ્વ. સંજીવકુમારની યાદમાં બનેલા આ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભવન લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આશરે 20 કરોડના ખર્ચે નિર્મિત આ ઓડિટોરિયમ તે સમયે દક્ષિણ ગુજરાતના સૌથી આધુનિક નાટ્યગૃહોમાંનું એક હતું. સંજીવ કુમાર ઓડિટોરિયમ 20 કરોડના ખર્ચે તૈયાર થયું હતું અને હવે 11 વર્ષ બાદ 23.41 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવશે. રિનોવેશનમાં અનેક સુવિધાનો વધારો કરવામાં આવશે અને અધતન સુવિધાનો લાભ લોકો લઈ શકશે.
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાન હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે યોજાયેલું અંતિમ અને ખાસ જનરલ બોર્ડ ધારણા મુજબ જ અત્યંત તોફાની રહ્યું હતું. 11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓની મુદત પૂરી થઈ રહી હોવાથી ઉતાવળે બોલાવવામાં આવેલા આ ખાસ બોર્ડમાં વિરોધપક્ષે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને નિયમ વિરુદ્ધ કામગીરીના ગંભીર આક્ષેપો સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં ફ્લાવર બેડના નામે થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેના દંડની કરોડો રૂપિયાની રકમમાં હપ્તા કરી આપવાની દરખાસ્ત અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામોના મુદ્દે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ 'મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ' લખેલા બેનરો દર્શાવી આક્રમક દેખાવો કર્યા હતા. ફ્લાવર બેડ દંડમાં હપ્તા પદ્ધતિનો વિવાદ અને બિલ્ડરોને મોટી રાહતરાજકોટમાં બિલ્ડરો માટે આજે બોર્ડમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સત્તા મંડળ અને કેબિનેટના ખાસ કિસ્સામાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા નવી હપ્તા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે બિલ્ડરોએ કરોડો રૂપિયાનો દંડ એકસાથે ભરવો પડતો હતો, જે ભરવામાં અનેક બિલ્ડરો પાછીપાની કરી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં બિલ્ડરોને આર્થિક રાહત આપવા માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હપ્તા પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ બિલ્ડરે 50 લાખ સુધીનો BU (બી.યુ.) ચાર્જ ભરવાનો હોય, તો તેઓ ચેક દ્વારા સીધી ચુકવણી કરી શકશે. પરંતુ, જો દંડ કે ચાર્જની રકમ 50 લાખ થી વધુ થતી હોય તેવા કિસ્સામાં, બિલ્ડરોને 1 વર્ષના સમયગાળામાં ત્રણ-ત્રણ મહિનાના અંતરે કુલ 4 સરખા હપ્તામાં નાણાં ભરવાની છૂટ આપવામાં આવશે. કમિશનરના ઈન્કાર બાદ પદાધિકારીઓ વિશેષાધિકારનો ઉપયોગ કરી દરખાસ્ત લાવ્યાનોંધનીય છે કે મનપા કમિશનર તુષાર સુમેરાએ આ પ્રકારની દરખાસ્ત કરવાનો અગાઉ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હોવા છતાં, પદાધિકારીઓએ તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ મામલે અર્જન્ટ દરખાસ્ત લાવી તેને બહાલી આપી દીધી હતી. આ નિર્ણયથી બિલ્ડરોને 5 કે 10 કરોડ જેવી મસમોટી રકમ ચૂકવવામાં મોટી સુવિધા મળશે. જેને લઈને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ મામલે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. અને શાસકોએ જીપીએમસી એક્ટનાં નિયમોનું ઉલ્લંઘન કરી બિલ્ડરોને લાભ અપાવવા અરજન્ટ દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. વિપક્ષના ગંભીર આક્ષેપો: GPMC એક્ટના ઉલ્લંઘનનો દાવોવિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા આજે પૂરી તૈયારી સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા. તેઓ જીપીએમસી (GPMC) એક્ટની બુક સાથે રાખીને સત્તાધારી પક્ષ પર તૂટી પડ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદાના નિયમો મુજબ ખાસ બોલાવવામાં આવેલા બોર્ડમાં આવી કોઈપણ અર્જન્ટ દરખાસ્તો લાવી શકાય નહીં. સાગઠીયાએ મેયરને ઉદ્દેશીને પત્ર પાઠવ્યો હતો અને બોર્ડમાં પણ ચેતવણી આપી હતી કે, જો નિયમ વિરુદ્ધ જઈને દરખાસ્ત પસાર કરવામાં આવશે, તો તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે અને મેયરે કોર્ટમાં જવાબ આપવો પડશે. સાગઠીયાએ માત્ર કાયદાકીય જ નહીં પણ વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા હતા. તેમણે વોર્ડ નંબર 8 માં પંચવટી સોસાયટી શેરી નં-2 માં બગીચાની નજીક સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્જિનની જગ્યા રાખ્યા વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મેં પોતે સ્થળ પર જઈ તપાસ કરી ત્યારે ત્યાંના મજૂરોએ સ્વીકાર્યું હતું કે આ મકાન જયમીન ઠાકરનું છે. જો તેઓ આ મકાન તેમના બહેનનું હોવાનું કહીને બચાવ કરતા હોય, તો શું તેમના બહેનને પણ નિયમો નેવે મૂકી ગેરકાયદે બાંધકામ કરવાની છૂટ છે? આ અંગે સાગઠિયાએ લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. વિપક્ષના આ આક્ષેપોને પગલે બોર્ડમાં ભારે ચકમક ઝરી હતી. સ્ટેન્ડિંગ ચેરમેનનો વળતો પ્રહાર અને સફાઈપોતાના પર લાગેલા ગેરકાયદે બાંધકામના આરોપો અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અત્યંત આત્મવિશ્વાસ સાથે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા પત્નીના નામે પ્લોટ છે જે સંપૂર્ણપણે કાયદેસરનો છે. હું વ્યવસાયે બિલ્ડર છું અને બાંધકામ ક્ષેત્રના તમામ નિયમોથી સંપૂર્ણ વાકેફ છું. મેં 1 ફૂટનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું નથી. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે નવા ટાઉન પ્લાનિંગ એક્ટના GDCR મુજબ પૂરતું માર્જિન છોડવામાં આવ્યું છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી તેઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. ઠાકરે પડકાર ફેંકતા કહ્યું કે તેઓ એક જવાબદાર ટેક્સપેયર છે અને જાહેરમાં પોતાના ટેક્સના આંકડા અને તમામ પુરાવાઓ રજૂ કરવા તૈયાર છે. તેમણે વિપક્ષના વિરોધને 'અભ્યાસ વિનાનો' ગણાવ્યો હતો. માત્ર 10 મિનિટમાં 14 દરખાસ્તો મંજૂર કરી બોર્ડની કામગીરી પૂર્ણ જાહેર કરાઈભારે હોબાળો, નારેબાજી અને બેનરો વચ્ચે પણ સત્તાધારી પક્ષે પોતાની વ્યૂહરચના મુજબ કામગીરી ચાલુ રાખી હતી. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં એજન્ડા પરની 12 દરખાસ્તો અને અન્ય 2 અર્જન્ટ દરખાસ્તો મળી કુલ 14 કામોને બહુમતીથી મંજૂરી આપી દેવામાં આવી હતી. આજના બોર્ડમાં લેવાયેલા મહત્વના નિર્ણયો: * નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ: વર્ષ 1998 થી ચાલતા આ મેદાનના વિવાદમાં હવે પૂર્ણવિરામ મુકાયું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને, આ મેદાન પ્લેગ્રાઉન્ડના હેતુ માટે જ રહેશે અને ત્યાં કોઈ બાંધકામ કરી શકાશે નહીં તેવી શરતે સ્કૂલના બાળકોને રમવા માટે સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. * ધાર્મિક અને સામાજિક હેતુ માટે ગ્રાઉન્ડ ફાળવણી: બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયને મહોત્સવ માટે કાલાવડ રોડ પર આવેલું રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથોસાથ રાજકોટ જૈન સમાજને નાત જમણ માટે પણ રેસકોર્સ ગ્રાઉન્ડ નિઃશુલ્ક આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આચારસંહિતા પૂર્વે આ કામો કરવા જરૂરી હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું. * પ્લોટ વેચાણ અને દસ્તાવેજ: અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા રૂ. 106 કરોડમાં વેચવામાં આવેલા પ્લોટના દસ્તાવેજ કરવાની મંજૂરી અપાઈ હતી. બોર્ડની મંજૂરી વિના આટલી મોટી રકમનો દસ્તાવેજ થઈ શકે તેમ નહોતો. * કર્મચારી હિતના નિર્ણયો: ભાજપના જ નગરસેવક નેહલ શુક્લએ કર્મચારીઓના હિતમાં રજૂઆત કરી હતી. આશરે 70 જેટલા કર્મચારીઓને 'નોશનલ પગાર'નો લાભ આપવાની દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી તેમને નિવૃત્તિ સમયે આર્થિક નુકસાન ન થાય. આ રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. * જમીન માલિકી અંગે સ્પષ્ટતા: નેહલ શુક્લએ અન્ય એક પ્લોટ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે જે જમીનની માલિકી કોર્પોરેશનને બદલે રૂડા (RUDA) હસ્તક હોવાનું માલૂમ પડ્યું છે. આ મામલે કમિશનરને કાયદાકીય માર્ગદર્શન મેળવી આગળ વધવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાના આ ખાસ બોર્ડમાં વિપક્ષની રજૂઆતોને સદંતર અવગણીને શાસક પક્ષે તમામ 14 દરખાસ્તોને ગણતરીની મિનિટોમાં મંજૂર કરી દીધી હતી. ટર્મ પૂર્ણ થતી હોવાથી આચારસંહિતાની અસર પડે નહીં તે માટે પદાધિકારીઓએ ઉતાવળ કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ અંતે ફરી એકવાર આક્ષેપ કર્યો હતો કે શાસકો બિલ્ડરોના હિતમાં નિયમો તોડી રહ્યા છે. બીજી તરફ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આ તમામ નિર્ણયોને શહેરના વિકાસ અને લોકહિતના ગણાવ્યા હતા. બોર્ડ પૂર્ણ થતાની સાથે જ મનપામાં હવે ચૂંટણીનો માહોલ અને વહીવટી શાસન તરફની તૈયારીઓ જોવા મળી રહી છે.
હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સંમેલન:વિવિધ ક્ષેત્રની 26 મહિલાનું સન્માન કરાયું
હિંમતનગરમાં ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું. સાબરકાંઠા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ' થીમ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં વિવિધ વિભાગની 26 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચો, વિવિધ સખી મંડળની સભ્યો, આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર બહેનો અને ICDS વિભાગમાં સારી સેવા આપનાર મહિલાઓનો સમાવેશ થાય છે. કુલ છ વિભાગમાંથી 26 બહેનોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજનાના કુલ છ લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદું, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને પોલીસ હેડક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, આ મહિલા સંમેલનમાં કેટલીક મહિલાઓનું સન્માન ન કરાયું હોવાના અને વિતરણ કરાયેલા ફૂડ પેકેટની ગુણવત્તા યોગ્ય ન હોવા અંગેના મુદ્દે યોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 અને 11 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય ટેકનિકલ ફેસ્ટિવલ “TECHTONIC 2K26”નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજોના 1300 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં આચાર્ય ડો. પ્રદીપ લોઢા, વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા (HOD-EC), ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાય.બી. ચૌહાણ સહિત ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષના ફેસ્ટિવલની થીમ “Build Together with AI” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારોનું આદાનપ્રદાન કરવા અને ટીમવર્ક દ્વારા નવીન અનુભવ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી, હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બે દિવસીય ફેસ્ટિવલ દરમિયાન AI આધારિત પ્રોજેક્ટ એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા, રોબોટિક્સ અને ઓટોમેશન ઇવેન્ટ્સ, ટેકનિકલ ક્વિઝ, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન તેમજ ઇનોવેશન ચેલેન્જ જેવી વિવિધ ટેકનિકલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કોલેજની બે વિદ્યાર્થીનીઓ કેજલ પટેલ અને કીર્તિ શુક્લાએ પ્રો. વિશાલ દોશી (ઇન્ટરનલ ગાઇડ) અને સ્નેહલ પટેલ (એક્સટર્નલ ગાઇડ)ના માર્ગદર્શન હેઠળ ‘હાઇબ્રિડ VTOL UAV’ નામનું અદ્યતન ડ્રોન તૈયાર કર્યું છે. સંરક્ષણ અને સર્વેલન્સ ક્ષેત્રે ઉપયોગી બની શકે તેવા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ રૂ. 2.50 લાખનું ફંડિંગ પણ મળ્યું છે. આ UAV હાઇબ્રિડ પાવર સિસ્ટમથી કાર્ય કરે છે, જેમાં બેટરી અને ફ્યુઅલ બંનેનો ઉપયોગ થાય છે. લગભગ 25 કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિમી ઊંચાઈ સુધી ઉડી શકે છે અને 30 કિમી વિસ્તાર સુધી મોનિટરિંગ કરી શકે છે. VTOL ટેકનોલોજીને કારણે તેને ઉડાન કે લેન્ડિંગ માટે રનવેની જરૂર પડતી નથી. આ ડ્રોનનો ઉપયોગ સરહદી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા માટે સર્વેલન્સ, વન્યજીવન મોનિટરિંગ તથા ઊંચી પાવર લાઇનોના ઇન્સ્પેક્શન માટે થઈ શકે છે. આ ઉપરાંત કેમિકલ ઇજનેરી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “Aqua Predict” પ્રોજેક્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તરીકે વિકસિત આ પ્રોજેક્ટ દૂષિત પાણીની ઓળખ કરી IoT દ્વારા રીઅલ ટાઇમ માહિતી પ્રદાન કરે છે. પ્રોફેસર એ.એન.વાઘેલા અને ડો.નૈના તાહિલરમાનીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ SSIP પ્રોજેક્ટને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પટના ખાતે યોજાનાર “IIChE- Chemathon-2026” ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી મળી છે. આ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ દ્વારા આયોજિત “TECHTONIC 2K26” ફેસ્ટિવલ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી,ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ સાથે જોડાઈને સમાજમુખી તથા પર્યાવરણલક્ષી સમસ્યાઓના ઉકેલ શોધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
જગન્નાથ પુરીના ગોવર્ધન મઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ વડોદરા ખાતે એક ગોષ્ઠિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેઓ ગોવર્ધન મઠના 145માં શંકરાચાર્ય છે અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. જગદગુરુ નિશ્ચલાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ, ગણિત અને આધ્યાત્મિકતા પર હવે 160થી વધુ પુસ્તકો લખી છે. સનાતન સંસ્કૃતિની સુરક્ષા અને રાષ્ટ્રની એકતાનો ઉદ્દેશ્ય તેઓ આદિત્ય વાહની અને આનંદ વાહની જેવી સંસ્થાની સ્થાપના પણ કરે છે. રાજનીતિ માટે 'રાજધર્મ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યોવૈદિક પરંપરામાં રાજનીતિનો અર્થ માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ તે એક ગહન અને પવિત્ર જવાબદારી છે. જગદગુરુ શંકરાચાર્યએ જણાવ્યું કે, રાજનીતિ માટે 'રાજધર્મ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના મતે રાજનીતિ, રાજધર્મ, દંડનીતિ, અર્થનીતિ અને ક્ષાત્રધર્મ આ પાંચેય શબ્દો એકબીજાના પર્યાય છે અને એક જ ઉમદા હેતુને દર્શાવે છે. ક્ષાત્રધર્મ એટલે કે ક્ષત્રિયોનો ધર્મ, જે રક્ષણ અને ન્યાય પર આધારિત છે. એક આદર્શ સમાજની સંરચના માટે વ્યક્તિઓમાં ચોક્કસ ગુણો હોવા અનિવાર્ય છે. સમાજ સુસંસ્કૃત, સુશિક્ષિત અને સ્વસ્થ હોવા જોઈએવૈદિક સિદ્ધાંતો મુજબ રાજનીતિની વ્યાખ્યા ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે સમાજના લોકો સુસંસ્કૃત, સુશિક્ષિત, સુરક્ષિત, સંપન્ન, સેવા પરાયણ અને સ્વસ્થ હોય. આવા સદગુણો ધરાવતી વ્યક્તિઓથી બનેલા સમાજ દ્વારા જ સાચી રાજનીતિ પ્રસ્થાપિત થઈ શકે છે. વર્તમાન સમયમાં રાજનીતિ જે દિશામાં જઈ રહી છે તે અંગે તેઓએ જણાવ્યું કે, આજની રાજનીતિ આ પવિત્ર જો શાસકો અને પ્રજા આ વૈદિક મૂલ્યોને અનુસરે, તો જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય છે. રાજનીતિનો મૂળ ઉદ્દેશ્ય સત્તા નહીં પણ સેવા અને ધર્મનું સ્થાપન હોવું જોઈએ. ગૌરક્ષા અને આધુનિક ખેતી અંગે ગંભીર ચિંતાજગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા અને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌરક્ષાના મુદ્દે આપણે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. પ્રાચીન સમયમાં બળદગાડા અને હળ ખેતીના મુખ્ય સાધનો હતા, પરંતુ આધુનિક યુગમાં બળદગાડાનો યુગ લગભગ સમાપ્ત થઈ ગયો છે અને ખેતીમાં પણ ટ્રેક્ટર જેવા મશીનોનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે બળદોની ઉપયોગિતા ઘટી રહી છે. 'માત્ર પ્રયત્નો કરવાથી ગાયોનું રક્ષણ કરવું મુશ્કેલ'તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે કોઈ પ્રજાતિની ઉપયોગિતા મશીનો દ્વારા છીનવી લેવામાં આવે છે, ત્યારે તે પ્રજાતિમાં વિકૃતિ આવે છે અથવા તે લુપ્ત થવા લાગે છે. જો આપણે સનાતન સંસ્કૃતિ મુજબ ખેતી અને પરિવહનના સાધનો અપનાવીશું, તો જ ગાયો અને બળદોનું સંપૂર્ણ રક્ષણ શક્ય બનશે. માત્ર પ્રયત્નો કરવાથી ગાયોનું રક્ષણ કરવું મુશ્કેલ છે, પરંતુ જો તેમને ફરીથી વ્યવહારિક જીવનમાં જોડવામાં આવે, તો તે સાચા અર્થમાં ગૌસેવા ગણાશે.
ગલ્ફ યુદ્ધના કારણે નિકાસમાં લાગેલા ફટકા વચ્ચે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે 'કોઢમાં ખાજ' જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઓર્ડર અને પેમેન્ટ અટવાયા છે, તો બીજી તરફ રાજ્ય સરકારની વિવિધ સ્કીમો હેઠળની 22,400 જેટલી ફાઈલો અને ક્લેમ્સ સરકારી કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. આ ફાઈલો ક્લિયર ન થતા ઉદ્યોગકારોના રૂ. 4,000 કરોડ સરકાર પાસે જમા પડ્યા છે. SGCCI દ્વારા આ આંકડાકીય માયાજાળ સામે લાલબત્તી ધરીને તાત્કાલિક પેમેન્ટ રીલીઝ કરવાની માગ કરવામાં આવી છે. એક્સપોર્ટ સાયકલ ખોરવાતા લિક્વિડિટી ક્રંચગલ્ફમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે રેડ-સી (લાલ સમુદ્ર) મારફતે થતો વેપાર ઠપ્પ થયો છે. સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ સેક્ટરના સેંકડો કન્ટેનરો અત્યારે મધદરિયે અટવાયેલા છે. SGCCI પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, માલ અટકવાથી પેમેન્ટ સાયકલ પૂરી થતી નથી. ઉદ્યોગકારો પાસે રોકડની ભારે તંગી છે, જેના કારણે ઉત્પાદન અને કામદારોના પગાર પર સીધી અસર પડી રહી છે. 4000 કરોડની સબસિડી રિલિઝ કરવાની પ્રબળ માગજ્યારે આર્થિક મંદીનો માહોલ હોય ત્યારે સરકારની સબસીડી ઉદ્યોગો માટે 'બૂસ્ટર ડોઝ' સાબિત થતી હોય છે. જોકે, દક્ષિણ ગુજરાતના કિસ્સામાં ઉલટું થઈ રહ્યું છે. અલગ-અલગ ત્રણ મુખ્ય પોલિસીઓ હેઠળ ઉદ્યોગકારોના હક્કના કરોડો રૂપિયા સરકારી ફાઈલોમાં કેદ છે. જો 31 માર્ચ પહેલા આ નાણાં છૂટા કરવામાં આવે, તો જ ઉદ્યોગો આ કપરા કાળમાં ટકી શકશે. નવી નીતિમાં શરૂઆતથી જ 5,400 ફાઈલો પેન્ડિંગસરકારે હજુ હમણાં જ જાહેર કરેલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ધીમી ગતિને કારણે અંદાજે 5,400 જેટલી ફાઈલો અત્યારે સેન્ક્શન થવાની રાહ જોઈ રહી છે. આના કારણે દક્ષિણ ગુજરાતના 1,500 જેટલા યુનિટ્સ આર્થિક ભીંસમાં મુકાયા છે. આ સેક્ટરમાં અંદાજે રૂ. 1,000 કરોડની સબસિડી અટવાયેલી છે. MSME આત્મનિર્ભર પોલિસી 2022: 6,000 ફાઈલો પ્રોસેસિંગના ફાંસામાંનાના ઉદ્યોગો જે સુરતની આર્થિક શક્તિ છે, તેમને પ્રોત્સાહન આપવા માટેની આત્મનિર્ભર પોલિસીની સ્થિતિ વધુ દયનીય છે. ડેટા મુજબ, અત્યારે અંદાજે 6,000 જેટલી ફાઈલો પ્રોસેસિંગમાં પેન્ડિંગ છે.આ સેક્ટરના અંદાજે રૂ. 1,400 કરોડ સબસિડી પેટે બાકી છે.જો આ રકમ સમયસર નહીં મળે તો અનેક નાના એકમો કાયમ માટે બંધ થઈ શકે તેવી ભીતિ છે. 2019ના નાણાં પણ હજુ અદ્ધરતાલટેક્સટાઇલ પોલિસી 2019 જેનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેના લેણાં પણ હજુ પતાવવામાં આવ્યા નથી. આ પોલિસીની 3,000 ફાઈલો હજુ સેન્ક્શન થઈ નથી. આ ઉપરાંત 8,000 જેટલા સબસિડી ક્લેમ્સ હજુ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. આ જૂના હિસાબોની કુલ રકમ રૂ. 1,500 કરોડ જેટલી થવા જાય છે. નિયમોમાં થોડી ઉદારતા દાખવો, પ્રક્રિયા ફાસ્ટ-ટ્રેક કરોઃ SGCCIનિખિલ મદ્રાસીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારી પ્રક્રિયા તેની રીતે ચાલી રહી છે, પણ વર્તમાન યુદ્ધની સ્થિતિ અસાધારણ છે. જો સરકાર થોડી ઉદારતા દાખવીને ફાઈલોના નિકાલમાં ગતિ લાવશે, તો લિક્વિડિટીની કટોકટી હળવી થશે. ચેમ્બરે માગ કરી છે કે, ટેકનિકલ કારણોસર ફાઈલો અટકાવવાને બદલે તેને સુધારીને વહેલી તકે પેમેન્ટ કરવામાં આવે. હર્ષ સંઘવી-કનુ દેસાઈને રજૂઆત, ઉદ્યોગકારો ગાંધીનગર દોડશેઆ આંકડાકીય ડેટા સાથે SGCCIએ રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈને વિગતવાર પત્ર લખ્યો છે. ઉદ્યોગકારોની એક જ માગ છે કે, માર્ચ એન્ડિંગ પહેલા આ કરોડો રૂપિયા રિલિઝ કરવામાં આવે. જો જરૂર પડશે તો ચેમ્બરનું પ્રતિનિધિમંડળ રૂબરૂ મળીને પણ આ ગંભીર સ્થિતિ અંગે વાકેફ કરશે.
અમરેલીમાં ગુનેગાર સામે PASA હેઠળ કાર્યવાહી:LCBએ 20 વર્ષીય આરોપીને પાલનપુર જેલમાં મોકલ્યો
અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 20 વર્ષીય આરોપી રામકુ કાળુભાઈ વાઘેલા સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી LCB દ્વારા તેને ઝડપી પાડી પાલનપુર જિલ્લા જેલમાં મોકલી દેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કડક પગલાં લેવાયા છે. LCB દ્વારા રામકુ વાઘેલા સામે PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે PASA વોરંટ ઇસ્યુ કર્યા બાદ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રામકુ કાળુભાઈ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેની સામે વડીયા, સાવરકુંડલા ટાઉન, જામજોધપુર અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. આ સમગ્ર કાર્યવાહી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટીમમાં રમેશભાઈ સીસારા, દયાબેન જસાણી, ધ્રુવિનાબેન સુરાણી અને રીનાબેન ધોળકીયાનો સમાવેશ થાય છે.
ભરૂચ પાસેના ઉમરવા ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર, અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તનભક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સત્સંગમાં દ્રઢતા લાવવા પ્રેરક પ્રવચનો આપ્યા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જો માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, વાક્યમાં પૂર્ણવિરામ ન આવે તો તે વાક્ય અધૂરું લાગે છે. તેવી જ રીતે, રેલવેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ન આવે તો તે મુસાફરી સુખદાયી બનતી નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે, જીવનમાં વસ્તુઓનો સંગ્રહ અને પંચવિષયના ભોગમાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો જ સુખી થઈશું. ધન, આયુષ્ય, સ્ત્રી અને ભોજન આ ચાર બાબતોમાં અત્યાર સુધી કોઈને તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. તેથી, સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ માનવું જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે જ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, જેટલો સત્સંગ કરીએ તેટલું વધુ સુખી થવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં કહે છે કે, ભક્તિ અને સત્સંગ કર્યા વગર ગમે તેવો મોટો હોય તોપણ તેને દુઃખ મટતાં નથી. આથી, નિત્ય નામસ્મરણ, પ્રાર્થના, સદ્ગ્રંથોનું પઠન અને સંતોનો સમાગમ કરવો અત્યંત જરૂરી છે.
સુરત શહેરના વિવિધ સરકારી અને સુરક્ષા વિભાગો વચ્ચે એકતા, પરસ્પર સહયોગ અને ખેલદિલીની ભાવના કેળવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) સુરત એરપોર્ટ દ્વારા “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝન-2”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. CP અનુપમસિંહ ગહલૌતના હસ્તે ઉદ્ઘાટનઆ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી રમતગમતની પ્રવૃત્તિઓથી સુરતની વિવિધ એજન્સીઓ વચ્ચે આંતર-વિભાગીય સંકલન વધે છે. સાથે જ તેમણે વ્યસ્ત કામગીરી વચ્ચે રમતગમત દ્વારા સ્વાસ્થ્ય જાળવવાના CISFના આ પ્રયાસની મુક્ત કંઠે સરાહના કરી હતી. 16 ટીમો વચ્ચે 20 દિવસનો મુકાબલોઆ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સુરતની નામાંકિત 16 ટીમો મેદાનમાં ઉતરી છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, જિલ્લા કલેક્ટર કચેરી, એરપોર્ટ ઓથોરિટી, કસ્ટમ્સ, GST, ટ્રાફિક પોલીસ, ONGC, કવાસ CISF યુનિટ, ક્રિભકો, બેંકિંગ સેક્ટર અને વિવિધ એરલાઇન્સની ટીમોનો સમાવેશ થાય છે. તારીખ 10 થી 30 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. એકતા અને શારીરિક તંદુરસ્તીનો સંદેશટુર્નામેન્ટના પ્રથમ દિવસે ખેલાડીઓમાં અદભૂત જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ મેચ સવારે 08:30 કલાકે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે ટીમ ભાવના અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો છે. આગામી 20 દિવસ સુધી ચાલનારી આ લીગ મેચો સુરતની સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંબંધો અને એકતાનું પ્રતીક બની રહેશે.
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને આજે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આજે તારીખ 10-03-2026 ના રોજ સવારે 10:37 કલાકે આ ધમકીભર્યો મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એબી ગોહિલના નેતૃત્વમાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધમકી આપનાર શખ્સે મેઈલમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે બપોરે 1:10 કલાકે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. સમયની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ,SOG ,લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી. પોસ્ટ ઓફિસમાં હાજર કર્મચારીઓ અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી આખા પરિસરમાં આશરે એક કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસના અંતે કોઈ પણ વાંધાજનક કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક 'હોક્સ કોલ' (ખોટી ધમકી) સાબિત થયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા પોલીસ અને પોસ્ટ વિભાગના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યું હતું કે બપોરે 2:00 વાગ્યાથી પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ અને પાસપોર્ટ કેન્દ્રોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ કિસ્સામાં પણ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસે નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પોલીસ અને ફાયર ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી
ગુજરાતમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી બાદ મોરબી પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. જોકે, ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ધમકીભર્યો ઇ-મેઇલ આજે સવારે આઠ વાગ્યાની આસપાસ 'એલ એક્સ પોલ મેનન' નામના ઇમેલ આઇડી પરથી પોસ્ટ વિભાગના અધિકારીને મળ્યો હતો. ઇ-મેઇલમાં બપોરના એક વાગ્યે બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફ સહિતના લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક એલસીબી, એસઓજીની ટીમો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમોએ ઇ-મેઇલને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની અંદર બોમ્બ છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
પાટણ જિલ્લા પંચાયતનું ₹1537 કરોડનું બજેટ રજૂ:શિક્ષણ-આરોગ્યમાં જોગવાઈઓ, વિરોધ પક્ષે ભ્રામક ગણાવ્યું
પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27ના નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને સમાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તેમના કાર્યકાળનું આ સતત ત્રીજું અંદાજપત્ર છે. ભૌગોલિક પ્રતિકૂળતા અને મર્યાદિત આવક વચ્ચે પણ આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, વિરોધ પક્ષે આ બજેટને વાસ્તવિકતાથી દૂર અને ભ્રામક ગણાવી તેની ટીકા કરી છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે આ બજેટ સામે વાંધો ઉઠાવતા તેને 'ઝાંઝવાના નીર' સમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ બજેટ માત્ર આંકડાની માયાજાળ છે અને સામાન્ય જનતા માટે ભ્રામક છે. બજેટના મુખ્ય આંકડાકીય પાસાંવર્ષ 2026-27ના અંદાજપત્રમાં સ્વભંડોળ અને સરકારી પ્રવૃત્તિઓ માટે રકમનું આયોજન: સ્વભંડોળ સદર: 14.58 કરોડની આવક સામે 13.35 કરોડના ખર્ચનું આયોજન. કુલ અંદાજ (સરકારી પ્રવૃત્તિઓ સહિત): 1,538 કરોડની આવક સામે 1,537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વની જોગવાઈઓ બજેટમાં શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપવા આયોજન કરવામાં આવ્યા છે: સ્માર્ટ ક્લાસ: પ્રાથમિક શાળાના બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા 233 લાખની જોગવાઈ. ડાયાબિટીસ સહાય: એક નવી માનવીય પહેલ હેઠળ ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા જિલ્લાના 123 બાળકો માટે 12.92 લાખ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત બાળકોને ગ્લુકોમીટર, ઈન્સ્યુલિન પેન, ઈન્સ્યુલિન રીફિલ અને સારવાર કીટ આપવામાં આવશે. સામાજિક ન્યાય અને ટેકનોલોજી પર ભાર સામાજિક વિકાસ: અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે 'સામાજિક ન્યાય નિધિ ફંડ'માં 50.00 લાખની ફાળવણી. પશુપાલન: પશુ પ્રદર્શન, બ્રીડ શો અને શ્રેષ્ઠ પશુપાલક ઇનામ વિતરણ જેવી પ્રવૃત્તિઓ માટે 2.00 લાખની જોગવાઈ. ડિજિટલ પહેલ: નાગરિકોની સુવિધા માટે 9.00 લાખના ખર્ચે 'જન સુવિધા કેન્દ્ર' અને 5.00 લાખના ખર્ચે સરકારી યોજનાઓની માહિતી આપતા 'કીઓસ્ક ડેશબોર્ડ' સ્થાપવામાં આવશે.
મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા લોકડાયરામાં હાજર રહેલા સાંથલ PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલીક અસરથી પીઆઈ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરી દેવાયા છે. કટોસણમાં 6 માર્ચે લોકડાયરો યોજાયો હતોકટોસણ ગામમાં 6 માર્ચે આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગામ લોકો દ્વારા સાંથલ PI એમ.એમ.વરચંદને આમંત્રણ અપાતા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પીઆઈ મંચ પર હતા ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બુટલેગરો દ્વારા પીઆઈ પર ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા હતા. મહેસાણા SPએ PIને સસ્પેન્ડ કર્યાઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને 9 તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલે ભાસ્કરે મહેસાણા એસપીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, થઈ શક્યો ન હતો.
ગુજરાત ATS દ્વારા સુરતના ત્રણ યુવાનોની ધરપકડ સાથે એક આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ યુવકો એનેસ્થેસીયામાં વપરાતા 'એટોમીડેટ' નામના કેમિકલને એલોવેરા પાવડર અને અન્ય નામો હેઠળ વિદેશોમાં તસ્કરી કરતા હતાં. ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સાબિત થયું છે કે આ નેટવર્ક મલેશિયા અને થાઈલેન્ડના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. આરોપીઓ મુંબઈ એરપોર્ટના એર-કાર્ગો મારફતે પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતા હતાં. બે કંપની ને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતોકતારગામ વિસ્તારના રહેવાસી નિકુંજ હરેશભાઈ ગઢીયાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે 'DWN બાયોસાયન્સ' અને 'ન્યુટ્રલ ફાર્મા' જેવી કંપનીઓ બનાવી હતી. ઇન્ડિયા માર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી તે મલેશિયાના ગ્રાહકોના સંપર્કમાં આવ્યો હતો. આરોપી એટોમીડેટ પાવડરને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો હતો. તેણે સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં તેણે આશરે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર આ રીતે વિદેશ મોકલ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં થાય છે. ચેટમાં ખુલાસો, 4 કિલોના પાર્સલનું ટ્રેકિંગ નેટવર્કનિકુંજ ગઢીયાના CMF by Nothing મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ 'TH ETM' નામથી સેવ થયેલા મલેશિયાના નંબર પર 4 કિલોના બોક્સનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ સાથે ટ્રેકિંગ નંબર 37301788425 પણ શેર કરાયો હતો. આ ચેટમાં 'Mr. Chua' નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જે મલેશિયાના નાર્કો કાર્ટેલનો સભ્ય હોવાનું મનાય છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર માલ મોકલતા નહોતા, પરંતુ તેની ડિલિવરી સુધી સતત મોનિટરિંગ કરતા હતા. કસ્ટમની આંખમાં ઘૂળ નાખીને એલોવેરા પાવડરના નામે ડ્રગ ફેરાફેરીનિકુંજ ગઢીયાની બીજી એક ચેટમાં જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ વિદેશી વ્યક્તિએ પૂછ્યું હતું કે, તમે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે કયા નામનો ઉપયોગ કરશો? સામે નિકુંજે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે 'એલોવેરા પાવડર' નામનો ઉપયોગ કરશે. આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે તે રેગ્યુલરલી એલોવેરા અથવા કાર્બોમર પાવડરના નામે જ આ પ્રતિબંધિત ડ્રગ મોકલે છે. આ રીતે તે એરપોર્ટ પર રહેલી સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સના અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હતો. શ્રીલંકા અને મલેશિયામાં એક્સપોર્ટની ચેટમાં ખુલાસોફેબ્રુઆરી 2026ની એક ચેટમાં નિકુંજને પૂછવામાં આવ્યું હતું કે શું તે મલેશિયા અને શ્રીલંકામાં પણ એટોમીડેટ મોકલી શકશે? નિકુંજે આત્મવિશ્વાસ સાથે 'હા' પાડી હતી. જ્યારે સામી વ્યક્તિએ પૂછ્યું કે પાર્સલ પર શું નામ લખશો, ત્યારે નિકુંજે જણાવ્યું કે, અમારી એક્સપોર્ટ ટીમ નક્કી કરશે. આ ચેટ સાબિત કરે છે કે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખી ટીમ બેકએન્ડમાં કામ કરી રહી હતી, જે ડોક્યુમેન્ટ્સ અને લેબલિંગનું સંચાલન કરતી હતી. ગાર્મેન્ટની ઓફિસની આડમાં ફાર્મા ટ્રેડિંગનો કાળો કારોબારબીજો આરોપી ચેતન કનુભાઇ વાવડીયા, જે મોટા વરાછાનો રહેવાસી છે, તેની પાસેથી આઈફોન 16 પ્રો જપ્ત કરવામાં આવ્યો છે. તે 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' નામે ગાર્મેન્ટની ઓફિસ ચલાવતો હતો, જેની આડમાં તે ફાર્મા ટ્રેડિંગનું કામ કરતો હતો. તેની વોટ્સએપ ચેટમાં પણ વસ્તુનું નામ બદલીને કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવવાની વાતો સામે આવી છે. ચેતને પણ સેન્ચુરી ફાર્મામાંથી માલ ખરીદીને મલેશિયા મોકલ્યો હોવાની કબૂલાત કરી છે, જેમાં તે કિલો દીઠ 5000 યુએસ ડોલર વસૂલતો હતો. એટોમીડેટને 'ગીનોપોલ-24' પાવડર તરીકે મોકલતોચેતન વાવડીયાના મોબાઈલમાંથી મળેલી 8 ફેબ્રઆરી, 2025ની ચેટમાં એક અમેરિકન નંબર (+1 628...) સાથેની વાતચીત મળી છે. જેમાં સામેવાળાએ પૂછ્યું હતું કે, તમે પેકેજ કેવી રીતે મોકલશો?, ચેતને જવાબ આપ્યો હતો કે અમે નામ ચેન્જ કરીને જ મોકલી આપીશું. ચેતન એટોમીડેટને 'ગીનોપોલ-24' (Gynopol-24) પાવડર તરીકે ઓળખાવતો હતો. અત્યાર સુધીમાં તેણે પણ 50 કિલો જેટલો પાવડર આ જ રીતે વિદેશી કાર્ટેલ્સને સપ્લાય કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લેઅમરોલીના ભૌતિક દામજીભાઇ પદમાણી પાસેથી સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા જપ્ત કરાયો છે. તે 'જાની ફાર્મા'નો માલિક છે. તેની ચેટમાં 'JTT THAILAND' નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લે થયેલી છે. આ ચેટમાં ચોંકાવનારી વિગત એ છે કે થાઈલેન્ડ પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટે તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ કેટલાક પાર્સલ સીઝ કર્યા હતાં, જેની જાણકારી ભૌતિકને વોટ્સએપ દ્વારા મળી ગઈ હતી. તાઈવાનમાં સ્મગલિંગની તૈયારીની ચેટમાં ખુલાસોભૌતિક પદમાણીની વધુ એક ચેટમાં તાઈવાનના એક વ્યક્તિએ તેને ચેતવણી આપી હતી કે, આ પ્રોડક્ટ (એટોમીડેટ) તાઈવાનમાં ઈલીગલ છે, એટલે તેને અલગ રીતે મોકલવું પડશે. ભૌતિકે તરત જ સહમતી દર્શાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે અલગ નામથી જ માલ મોકલી આપશે. આ ગુનાહિત માનસિકતા દર્શાવે છે કે આરોપીઓ જાણતા હતા કે તેઓ જે પદાર્થ મોકલી રહ્યા છે તે અન્ય દેશોમાં પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. એટોમીડેટ શું છે? કેમ તેની તસ્કરી થાય છે?એટોમીડેટ એક એનેસ્થેટિક પદાર્થ (API) છે. જેનો ઉપયોગ ડોક્ટરો દર્દીને બેભાન કરવા માટે કરે છે. જોકે, તેનો દુરુપયોગ નશા માટે પણ થાય છે. થાઈલેન્ડમાં તેને 'સાયકોટ્રોપિક સબસ્ટન્સ' કેટેગરી-2માં રાખવામાં આવ્યું છે, જ્યારે મલેશિયામાં તેને 'પોઈઝન એક્ટ' હેઠળ ગ્રુપ-બીમાં મૂકવામાં આવ્યું છે. આ પદાર્થની વધુ માત્રા જીવલેણ બની શકે છે, તેથી જ આ દેશોમાં તેના વેચાણ અને આયાત પર કડક નિયંત્રણો છે, જેનો આ યુવકો ભંગ કરતા હતાં. મુંબઈ એરપોર્ટ પર એરામેક્ષ કુરીયરનું પાર્સલ જપ્તATSની તપાસ દરમિયાન મુંબઈના અંધેરી સ્થિત એરામેક્ષ કુરીયરની ઓફિસમાં નિકુંજ ગઢીયાએ મોકલેલું એક પાર્સલ હોલ્ડ કરવામાં આવ્યું હતું. આ પાર્સલ પર 'એલોવેરા પાવડર' લખેલું હતું. જ્યારે તેનું રમણ સ્પેક્ટોગ્રાફીમશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેમાં એટોમીડેટ હોવાનું સાબિત થયું. આ સાથે જ તેની ઇન્વોઇસ અને સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે, જેમાં માલને એલોવેરા પાવડર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ત્રણ કંપનીઓ અને અનેક બોગસ ડોક્યુમેન્ટ્સતપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ અલગ-અલગ કંપનીઓ – DWN બાયોસાયન્સ, રુદ્ર એન્ટરપ્રાઇઝ અને જાની ફાર્મા – ના નામે આ કાળો કારોબાર ચલાવતા હતા. તેઓ સેન્ચુરી ફાર્મા અને વેલોરેસ ફાર્મા જેવી કંપનીઓમાંથી માલ ખરીદતા હતા. મલેશિયાના 'Mr. Chua Zhi Xuan' નામના વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તેઓ મિસલેબલિંગ અને મિસડિક્લેરેશન કરી કસ્ટમ્સ સાથે છેતરપિંડી કરતા હતા. તેમની સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાના પ્રયોગ બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે બે સક્રિય હોદ્દેદારોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (સોશિયલ મીડિયા) ના મહામંત્રી પાર્થ અનાવાડીયા અને નવસારી શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને હોદ્દેદારોને તેમના વર્તમાન હોદ્દા તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી આ બંને હોદ્દેદારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસ પક્ષની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. વારંવારની સૂચનાઓ છતાં શિસ્તનું ઉલ્લંઘન થતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સંગઠનમાં શિસ્ત જાળવવા માટે આ કડક નિર્ણય લીધો છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ પાસે સક્રિય કાર્યકરોની મર્યાદિત સંખ્યા છે. તેવામાં સોશિયલ મીડિયાની કમાન સંભાળતા બે મુખ્ય ચહેરાઓને પક્ષમાંથી દૂર કરાતા 'ડિજિટલ વોર'માં પક્ષને મોટું નુકસાન થવાની ભીતિ છે. હવે સોશિયલ મીડિયાની જવાબદારી કોણ સંભાળશે તે અંગે શૂન્યાવકાશ સર્જાયો છે. આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મહત્વની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે જ બે જવાબદાર હોદ્દેદારોની હકાલપટ્ટી થતા અન્ય કાર્યકરોમાં પણ ચિંતા વ્યાપી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે હવે ચૂંટણી પૂર્વે નવા સક્ષમ કાર્યકરોને સંગઠનમાં જોડવા અને ખાલી પડેલા પદો પર નિમણૂક કરવી એ મોટો પડકાર બની રહેશે.
બનાસકાંઠા LCB: 6 લાખનો દારૂ ઝડપ્યો:પાલનપુર પાસેથી અર્ટીગા કારમાંથી વિદેશી દારૂ મળ્યો
બનાસકાંઠા એલ.સી.બી.એ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 6,01,820/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં મારૂતિ સુઝુકી અર્ટીગા ગાડીનો ઉપયોગ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અમીરગઢ તરફથી એક મારૂતિ સુઝુકી અર્ટીગા ગાડી (GJ.06.PN.0813) માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પાલનપુર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે ઇકબાલગઢ બ્રિજના પાલનપુર તરફના છેડે હાઇવે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન, શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે ગાડી પાલનપુર તરફ ભગાવી હતી. એલ.સી.બી.ની ટીમે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. ખેમાણા ટોલનાકાથી પાલનપુર તરફ ખેમાણા ગામની સીમમાં હિલ્ટોન હોટલ સામે હાઇવે રોડ પર ડિવાઈડર સાથે અથડાતા ગાડી ઉભી રહી ગઈ હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૫૫૬ બોટલ/બિયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,31,820/- છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી અર્ટીગા ગાડી અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. 6,01,820/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂની હેરાફેરી કરનારા આરોપીઓ ગાડી છોડીને નાસી છૂટ્યા હતા. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નાસી છૂટેલા આરોપીઓમાં ક્રિષ્ના કૈલાશભાઈ કાળીદાસ કહાર (ઉ.વ. 19, રહે. રાયખડ, અમદાવાદ), હાર્દિક કનૈયાલાલ કિશનભાઈ કહાર (ઉ.વ. 25, રહે. રાયખડ, અમદાવાદ) અને સોહીલ કલીમભાઈ કાસમભાઈ સૈયદ (ઉ.વ. 22, રહે. ગાયકવાડ હવેલી, અમદાવાદ) નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પી.આઈ. એ.વી. દેસાઈ, પી.એસ.આઈ. એસ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી, અલ્પેશકુમાર જીવણજી, પોલીસ કોન્સ્ટેબલ ધરમપાલસિંહ જનકસિંહ અને કનકસિંહ રાજેન્દ્રસિંહ સહિતના સ્ટાફ જોડાયો હતો.
રાજકોટમાંથી ફરી એક વખત 46.20 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને શહેર SOG પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી અમદાવાદના જ આરીફ નામના શખ્સ પાસેથી લઇ અને એસટી બસ મારફત રાજકોટ વેચાણ અર્થે આવ્યા હતા અને અહીંયા ગ્રાહકની શોધમાં રહી આ એમ્બરગ્રિસનો જથ્થો વેચે તે પહેલા જ રાત્રીના સમયે શહેર SOG પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સોએ કબૂલાત આપી હતી કે અમદાવાદના આરીફ નામના શખ્સે આ જથ્થો વેચવા માટે આપ્યો હતો અને વેચાણ પર રૂપિયા 10,000 કમિશન આપશે તેવું જણાવ્યું હતું જેથી પોલીસે અમદાવાદના આરીફ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલ્ટી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે રૂપિયા 46.20 લાખની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીના નામ સુમિત શ્રીકાંત ધુમલ (ઉ.વ.37) અને મયુર મહેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.19) છે જે મૂળ અમદાવાદના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અમદાવાદના આરીફ નામના શખ્સ પાસેથી લઇ વેચાણ માટે એસટી બસ મારફત રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરે તે પહેલા ચોક્કસ બાતમીના આધારે SOG દ્વારા બન્ને આરોપીઓને એમ્બરગ્રીસના 0.462 કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ FSL અધિકારીઓ પાસે પરીક્ષણ/તપાસ અર્થે મોકલી આરોપીની અટકાયત કરી તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય જેથી વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારી રાજકોટને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટી તરતું સોનુ માનવામાં આવે છે અને ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને એનાં ખરીદ-વેચાણ ગેરકાયદે જાહેર કરવામાં આવેલ છે. કેવી રીતે બને છે ઉલ્ટી.? વ્હેલની ઊલટી બનવાની પ્રોસેસ પ્રકૃતિની સૌથી વિચિત્ર ઘટનાઓમાંની એક છે. સાયન્સ પણ આ વાતને ખાતરીપૂર્વક જાણી શક્યું નથી કે આખરે વ્હેલની ઊલટી બનવાનું કારણ શું હોય છે.? કેટલીકવાર જ્યારે માંસનો ટુકડો વ્હેલના પેટમાંથી તેના આંતરડામાં પ્રવેશે છે ત્યારે વ્હેલના શરીરમાં થતી એક જટિલ પ્રક્રિયાથી એ વ્હેલની ઊલટી બને છે, જેને વ્હેલ ઓકી નાખે છે. 1783માં જર્મન ફિઝિશિયન ફ્રેન્ઝ સ્વેઇગરે એને 'કઠોર વ્હેલના છાણ' તરીકે ઓળખાવ્યું હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ દ્વારા દાહોદ જિલ્લાના ખેડૂતોની આવક વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અંતરિયાળ વિસ્તારના 30 ખેડૂતોને ‘આણંદ કોમલ’ ભીંડા જાતનું બિયારણ વિનામૂલ્યે વિતરણ કરાયું. “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ” યોજના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રોજમ અને ખરેડી ગામના ખેડૂતોને ગુજરાત આણંદ ભીંડા-8 (આણંદ કોમલ) જાતનું બિયારણ આપવામાં આવ્યું. ઉનાળુ ઋતુમાં રોકડિયા પાક તરીકે ભીંડાનું વાવેતર કરતા ખેડૂતો માટે આ નવી જાત આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. કેન્દ્રના યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારે ખેડૂતોને કેન્દ્રની સંશોધન અને બીજ ઉત્પાદન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ‘આણંદ કોમલ’ જાતના વાવેતરથી થતા ફાયદાઓ સમજાવ્યા. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મિહિર એમ. પંડ્યાએ આ જાતની લાક્ષણિકતાઓ અને વધુ ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિઓ પર ભાર મૂક્યો. યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી અન્ય ભીંડાની જાતો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરાયા. ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે એસ. બી. પારગીએ આબોહવા, જમીનની પસંદગી, વાવણીનું અંતર અને બીજ દર વિશે માર્ગદર્શન આપ્યું. ખેતીવાડી અધિકારી કે. એલ. પારગીએ ખાતર વ્યવસ્થાપન, પિયત પદ્ધતિ અને બજાર વ્યવસ્થાપન અંગે ખેડૂતોને જાણકારી આપી. ‘આણંદ કોમલ’ જાતના છોડ ઊંચા અને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ જાત પીળી નસના રોગ અને પાન કોકડવાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવાથી ખેડૂતોને દવાનો ખર્ચ ઓછો થશે અને તેમની આવકમાં વધારો થશે. કાર્યક્રમના અંતે ખેડૂતોએ સંશોધન કેન્દ્રના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ એડેપ્ટીવ ટ્રાયલ યોજના દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં જ નવી જાતની ઉત્પાદન ક્ષમતાનો અનુભવ કરવાની તક મળશે, જે આગામી સમયમાં દાહોદ જિલ્લામાં ભીંડાના વાવેતરનો વ્યાપ વધારવામાં મદદરૂપ થશે.
વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે અંગદાન અને મહિલા આરોગ્ય જાગૃતિ અંગે એક વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ વઘાસિયા, સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નિમિષાબેન માખણસા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા, સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને કાર્યક્રમના સંયોજિકા ડૉ. કુંજલબેન ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો હતો. સંયોજિકા ડૉ. કુંજલબેન ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યક્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિશેષ અતિથિ ડૉ. જયેશભાઈ વઘાસિયાએ અંગદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે બ્રેઇન ડેથ બાદ અંગદાન દ્વારા અનેક લોકોને નવું જીવન આપી શકાય છે. પુરાણોમાંથી દધિચી ઋષિનું ઉદાહરણ આપી, તેમણે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભીના સંદેશ સાથે લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર મેતરાએ પોતાના ઉદ્બોધનમાં અંગદાન અંગે સમાજમાં વધુ જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મુખ્ય વક્તા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નિમિષાબેન માખણસાએ સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કેન્સરના લક્ષણો, નિદાન, સારવાર અને એચપીવી (HPV) વેક્સિન અંગે PPT અને વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સમાપનમાં ડૉ. કુંજલબેન ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અમિષાબેન દવેએ કર્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. કુંજલબેન ત્રિવેદી અને ડૉ. અમિષાબેન દવેએ સંયોજિકા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યાના મામલે બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંગઠને આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજસિંહ ખેર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવી હતી. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં કડક પગલાં લેવામાં આવે તો જ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે. દેશભરમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
સુરતની પોસ્ટ ઓફિસ સ્થિત પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર ગુજરાતના પોસ્ટ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે પાટણની હેડ પોસ્ટ ઓફિસને પણ તાત્કાલિક ખાલી કરાવી પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. સુરત ખાતે આવેલી પોસ્ટ ઓફિસની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઈમેલના પગલે ગુજરાતની તમામ હેડ પોસ્ટ ઓફિસોને હાઈ એલર્ટ પર રહેવા અને સતર્કતા રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સુરક્ષા સૂચનાઓને પગલે પાટણ શહેરની હેડ પોસ્ટ ઓફિસને પણ તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી. અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ત્યાં હાજર કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને જોતા પાટણ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની તપાસ અને અન્ય સાવચેતીના પગલાં ભરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં મળેલી આ બોમ્બની ધમકીને પગલે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા મંગળવારે મોતીપુરામાંથી પસાર થતા સહકારી જીનથી GIDC સુધીના બંને તરફના સર્વિસ રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર કરવામાં આવી છે. આ દબાણો હટાવવાથી શહેરના લોકોને અવરજવર માટે સરળતા રહેશે. નગરપાલિકા દ્વારા સહકારી જીનથી દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલા આ સર્વિસ રોડ 12 મીટર પહોળા બનશે, જેનાથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
ગીરસોમનાથ જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન સોમનાથ મહાદેવ ખાતે જૂનાગઢ રેન્જના નવા આઈજીપી આર.વી. ચુડાસમાએ દર્શન કરી પોતાની નવી જવાબદારીનો પ્રારંભ કર્યો હતો. ચાર્જ સંભાળતા પૂર્વે તેમણે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ પહોંચતા પ્રથમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. જયદીપસિંહ જાડેજા અને ડીવાયએસપી વી.આર. ખેંગાર દ્વારા પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ વતી સુરુભા જાડેજા અને ઉમેદસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. આર.વી. ચુડાસમાએ સોમનાથ મહાદેવને જળાભિષેક સાથે પૂજા-અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આઈજીપી ચુડાસમાએ જણાવ્યું હતું કે સોમનાથ સાથે તેમનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. તેમની પોલીસ કારકિર્દી દરમિયાન ડીવાયએસપી અને એસપી તરીકેના મહત્વના પોસ્ટિંગ સોમનાથ વિસ્તારમાં રહ્યા હતા, જેના કારણે તેઓ આ વિસ્તાર અને અહીંની પ્રજાની ભાવનાઓથી નજીકથી પરિચિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ હંમેશા પ્રજાની સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહી છે. કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે જૂનાગઢ રેન્જના તમામ જિલ્લાઓમાં પોલીસતંત્ર સતત સક્રિય રહેશે. ગુનાખોરીને કાબૂમાં રાખવા માટે આધુનિક ટેકનોલોજી અને સઘન પોલીસિંગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈજીપી ચુડાસમાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદાની અમલવારી માટે જ નથી, પરંતુ પ્રજા સાથે મિત્રતાભર્યો સંબંધ સ્થાપિત કરી સુરક્ષિત સમાજ બનાવવાનો પણ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, પોલીસ પ્રજાની મિત્ર છે, પરંતુ સુરક્ષા જાળવવા માટે પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. તેમણે ગુનાહિત તત્વોને કડક ચેતવણી આપતા કહ્યું કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ગુનેગારોને ગુનાહિત પ્રવૃત્તિ છોડવા માટે સૂચના આપતા તેમણે જણાવ્યું કે જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલું જણાશે તો કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે આવા તત્વોને રેન્જ વિસ્તાર છોડવા માટે પણ મજબૂર થવું પડશે. સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ નવી જવાબદારી દરમિયાન આઈજીપી આર.વી. ચુડાસમાએ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમના આ સંદેશથી સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં જૂનાગઢ રેન્જમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય રીતે કામ કરશે.
ગોધરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી:ઈમેલ મળતાં બિલ્ડિંગ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ
ગોધરા શહેરમાં ફરી એકવાર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસના સત્તાધીશોને ઈમેલ દ્વારા ધમકી મળ્યા બાદ સુરક્ષાના કારણોસર પોસ્ટ ઓફિસ અને તે જ બિલ્ડિંગમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. તમામ કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોને ઝડપથી બિલ્ડિંગની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા શહેર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શહેર એ-ડિવિઝન, બી-ડિવિઝન, LCB અને SOG ટીમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર બિલ્ડિંગના ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
'કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો...' સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
SC about COVID vaccine side-effects : સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર 'નો-ફોલ્ટ'(no-fault basis) ધોરણે આપવું જોઈએ. આ વાતને ભૂલની કબૂલાત તરીકે ના લો સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, 'ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે 'નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી' ઘડે. આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે 'કોઈ ભૂલની કબૂલાત' તરીકે ના જોવી જોઈએ.
સીપુ જળાશય રસ્તાઓ માટે ₹17 કરોડ મંજૂર:ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆત બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય
રાજ્ય સરકારે ધાનેરા-દાંતીવાડા વિસ્તારના સીપુ જળાશય પ્રોજેક્ટ હેઠળના પેરિફેરી રસ્તાઓના રિ-સરફેસિંગ માટે આશરે ₹17 કરોડ મંજૂર કર્યા છે. આ મંજૂરી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં કરાયેલી રજૂઆત બાદ મળી છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ અગાઉ વિધાનસભામાં સીપુ જળાશય વિસ્તારના બિસ્માર રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની સતત રજૂઆતો અને અનુસરણના પરિણામે રાજ્ય સરકારે આ રસ્તાઓના નવીનીકરણ માટે ભંડોળ ફાળવવાનો નિર્ણય લીધો છે. આ મંજૂરી હેઠળ નીચેના રસ્તાઓના રિ-સરફેસિંગના કામો હાથ ધરવામાં આવશે: સ્ટેટ હાઈવે થી ગુંદીવાડા સીપુ ડેમ (2.35 કિ.મી.), રામપુરા થી રામપુરા પાંસવાળ (3.00 કિ.મી.), ગુંદીવાડા થી રબારી ગોળિયા (2.35 કિ.મી.), જેગોલ થી કોટડા (1.20 કિ.મી.) અને રબારી ગોળીયા થી નાની મહુડી (2.20 કિ.મી.). આ કામો પૂર્ણ થવાથી સીપુ જળાશય વિસ્તારના ગુંદીવાડા, રામપુરા, રબારી ગોળિયા, જેગોલ, કોટડા અને નાની મહુડી સહિતના ગામોના લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસના કામોને ગતિ આપવી એ તેમની પ્રાથમિકતા છે.
વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલી સભ્યોની મુદત પૂર્ણ થતાં આજથી (10 માર્ચ) કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. નિયમ મુજબ, આજે સવારે પદાધિકારીઓની તમામ ઓફિસો બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે. આ સાથે તમામના નામની તખ્તી પણ કાઢી લેવામાં આવી છે. મેયર ઓફિસ બહાર વહીવટદારની તખ્તી લાગીવડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં GUVNLના એમડી શાલિની અગ્રવાલની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનમાં મેયરના સ્થાને હવે વહીવટદાર ચાર્જ સંભાળશે. મેયર ઓફિસની બહાર તેઓના નામની તખ્તી લગાવવામાં આવી છે. બાકી તમામ ઓફિસની બહારથી તખ્તી હટાવી લેવામાં આવી છે. પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવીકોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાને ગાડીની ફાળવણી કરવામાં આવે છે. તેઓએ પોતાની ટર્મ પૂર્ણ થતા તમામ ગાડીઓ જમા કરાવી હતી. આ તમામ વાહનોને કોર્પોરેશનના વિહિકલપૂલ ખાતે પાર્ક કરી દેવામાં આવી છે. હવે પદાધિકારીઓએ પોતાની અંગત ગાડીનો ઉપયોગ કરવો પડશે. સ્થાયી બેઠક, સામાન્ય સભા બધું વહીવટદારના અધ્યક્ષસ્થાને મળશેસભા સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે, પાલિકામાં હવે વહીવટદારનું શાસન આવતા પાલિકાની તમામ કાર્યવાહી હવે વહીવટદારના અધ્યક્ષ સ્થાને મળશે. સ્થાયી સમિતિની બેઠક, સામાન્ય સભા તમામ બેઠકો હવે વહીવટદારની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરી સાથે યોજવામાં આવશે. જેમાં શહેર માટેના નિર્ણયો લેવામાં આવશે. ચૂંટણી ક્યારે જાહેર થશે તેની રાહ જોવાઈ રહી છેકોર્પોરેશનની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શકયતાઓ છે. રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા લગભગ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે હવે ચૂંટણીઓ ક્યારે જાહેર થાય છે તેની રાહ જોવાઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ગત ટર્મના મોટા ભાગના સભ્યો કપાય તેવી શક્યતા છે. ત્યારે હવે તમામ સભ્યો ચૂંટણીમાં પોતાનું નામ આવે તે માટેની મથામણમાં લાગી જશે.
ગઢડા રેફરલ હોસ્પિટલ જર્જરિત, સુવિધાઓનો અભાવ:લાખોના સાધનો બંધ, નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ખાલી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. પાયાની સુવિધાઓના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાખો રૂપિયાના સાધનો ટેકનિશિયનના અભાવે બંધ પડ્યા છે, જ્યારે સ્ટાફની અછતને કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘો ખર્ચ કરવો પડે છે. હોસ્પિટલના બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ છે. ઠેર-ઠેર સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે, જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે. સરકારે લાખો રૂપિયાના ખર્ચે એક્સ-રે મશીન સહિતના આધુનિક સાધનો વસાવ્યા છે. જોકે, ટેકનિશિયન અને જાણકાર સ્ટાફના અભાવે આ કિંમતી સાધનો મોટાભાગે બંધ રહે છે અને તેનો ઉપયોગ થઈ શકતો નથી. હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની પણ ગંભીર અછત છે. ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત)ની જગ્યા ખાલી હોવાથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમને ખાનગી હોસ્પિટલોમાં ઊંચી ફી ચૂકવવી પડે છે. આ ઉપરાંત, આંખના ડોક્ટર અને મેડિકલ ઓફિસર જેવી મુખ્ય જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે, જેના કારણે હોસ્પિટલ ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે. ગઢડા શહેર અને તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા શ્રમિકો અને ગરીબ પરિવારો માટે આ હોસ્પિટલ એકમાત્ર આશાનું કિરણ છે. સ્થાનિક નાગરિક ઉદયભાઈ ડવે તંત્રને તાત્કાલિક નિષ્ણાત ડોકટરોની નિમણૂક કરવા, બંધ પડેલા સાધનોનો ઉપયોગ શરૂ કરાવવા અને જર્જરિત બિલ્ડિંગનું સમારકામ અથવા નવું બાંધકામ કરાવવા માંગ કરી છે. આ અંગે રેફરલ હોસ્પિટલના ડોક્ટર મિલન ઘેવરિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટ અને આંખના ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. તેમણે ઉમેર્યું કે, બિલ્ડિંગની જર્જરિત હાલત અંગે પણ વડી કચેરીમાં લેખિત જાણ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર રાજ્યના શહેરોમાં પર્યાવરણ સંરક્ષણ અને શહેરી વિકાસને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવા જઈ રહી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવા 'લેક એન્ડ એર વોચ' પહેલ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની સ્થિતિ પર રિયલ-ટાઈમ નજર રાખી શકાશે અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ સામે સમયસર પગલાં લેવા સરળ બનશે. રાજ્ય સરકારની 'લેક એન્ડ એર વોચ' પહેલ અમલમાં મૂકવાનો નિર્ણયઝડપથી વધી રહેલા શહેરીકરણને કારણે શહેરોમાં આવેલા તળાવો પ્રદૂષિત થવાની સમસ્યા, પાણીની ગુણવત્તામાં ઘટાડો અને ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે સાથે ગીચ વસવાટવાળા વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 'લેક એન્ડ એર વોચ' પહેલ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંકલિત ડિજિટલ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ પ્લેટફોર્મ તૈયાર કરાશેઆ પહેલ અંતર્ગત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા એક સંકલિત ડિજિટલ અને રિયલ-ટાઈમ મોનિટરિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ સિસ્ટમમાં રાજ્યના શહેરોમાં આવેલા તળાવો તેમજ હવાની ગુણવત્તા અંગેની માહિતી સતત અપડેટ થતી રહેશે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તળાવોની સ્થિતિમાં ગંભીર ફેરફાર દેખાશે તો તાત્કાલિક એલર્ટ અપાશેપ્રોજેક્ટ અંતર્ગત સેટેલાઇટ ટેક્નોલોજી અને આધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા તળાવોના વિસ્તાર, પાણીની ગુણવત્તા, ગંદકીના સંકેતો, કાંપ ભરાવ અને શેવાળ જેવા પરિબળોનું વિશ્લેષણ કરવામાં આવશે. જો તળાવોની સ્થિતિમાં કોઈ ગંભીર ફેરફાર જોવા મળશે તો સિસ્ટમ દ્વારા તાત્કાલિક એલર્ટ આપવામાં આવશે જેથી સંબંધિત વિભાગો સમયસર કાર્યવાહી કરી શકે. શહેરોમાં હવાની ગુણવત્તા (AQI) અંગેની રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થશેતે ઉપરાંત રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા શહેરોમાં હવાની ગુણવત્તા (AQI) અંગેની રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થશે. જો AQIમાં વધારો થશે તો સિસ્ટમ આપમેળે એલર્ટ જનરેટ કરશે, જેના આધારે સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લઈ શકશે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થશેઆ પ્રોજેક્ટ અંતર્ગત એક કેન્દ્રિય ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવશે. જેમાં શહેરોના તળાવો અને હવાની ગુણવત્તા અંગેના મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને હાથ ધરાયેલી કામગીરી અંગેની માહિતી ઉપલબ્ધ રહેશે. આથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ શક્ય બનશે. સાથે સાથે નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ થવાથી પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધશે. રાજ્ય સરકારનું માનવું છે કે 'લેક એન્ડ એર વોચ' પહેલ શહેરોના તળાવોનું સંરક્ષણ, હવાની ગુણવત્તામાં સુધારો અને આબોહવા પરિવર્તન સામે ટકાઉ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા ઉચ્ચ રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં મહિલાઓને વધુ સજ્જ કરવાના હેતુથી 09/03/2026, સોમવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક ભવ્ય 'મહિલા સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'વિદુષી' અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસમાં જેન્ડર બાધ નથી: ડો. ચંચળબહેન ભારદ્વાજઆ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી (પલવલ, હરિયાણા)ના ડાયરેક્ટર ડો. ચંચળબહેન ભારદ્વાજે મહિલાઓના કૌશલ્ય વિકાસ (Skill Development) પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્ય કે કારકિર્દીમાં જેન્ડર બાધ હોતો નથી. આજે મહિલાઓ મિકેનિકલ કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. મહિલાઓએ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખી વ્યાવસાયિક કૌશલ્ય કેળવવું અનિવાર્ય છે. વિકસિત ભારત માટે સ્વ-વિકાસ પૂર્વશરત: ડો. અમીબહેન ઉપાધ્યાયડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબહેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, જો આપણે 'વિકસિત ભારત'નું સપનું સાકાર કરવું હોય, તો તેમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વનું છે. પરંતુ આ યોગદાન આપતા પહેલા મહિલાઓએ પોતે શિક્ષિત અને દીક્ષિત થઈ પોતાનો સર્વાંગી વિકાસ કરવો આવશ્યક છે. જ્યારે મહિલા સશક્ત બનશે, ત્યારે જ રાષ્ટ્રની પ્રગતિમાં તેનો ફાળો અસરકારક રહેશે. કુલપતિનો સંદેશ: સંસ્કાર સિંચનથી સમસ્યાઓનું સમાધાનકાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ સામાજિક મૂલ્યો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજની અડધી સમસ્યાઓ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે કુટુંબમાં બાળકને નાનપણથી જ મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન રાખવાના સંસ્કાર આપવામાં આવે. સંસ્કારિત પેઢી જ સ્ત્રીઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ આપી શકે છે. સંસ્થાકીય પરિચય અને મહાનુભાવોની ઉપસ્થિતિભારતીય શિક્ષણ મંડળના પ્રાંત અધ્યક્ષ સુરેશ નાહટાએ મંડળની કાર્યપ્રણાલી અને સામાજિક ઉત્તરદાયિત્વનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં 'વિદુષી' કોઓર્ડિનેટર ડો. શ્રધ્ધા બારોટે તમામ મહેમાનોનું સ્વાગત કરી 'વિદુષી' અભિયાનના ઉદ્દેશ્યો સમજાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય શિક્ષણ મંડળ પ્રાંત સહસંચાલક ડો. જલ્પા રાકે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડો. રેખાબા જાડેજાએ આટોપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા ગતિવિધિ પ્રમુખ ડો. રંજન ખૂંટ, પ્રાંતમંત્રી ડો. હરેશ બાંભણીયા સહિત યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સંવાદમાં મોટી સંખ્યામાં અધ્યાપિકાઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી.
રાજ્યભરમાં ઉનાળાનો પ્રારંભ થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મહેસાણા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એક મહત્ત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે. શહેરીજનોને ગરમીમાં ઠંડક આપવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શુદ્ધ પીવાના પાણીના કેન્દ્રો પર હવે ORS મિશ્રિત પાણી પૂરું પાડવામાં આવશે. સામાન્ય પાણીને બદલે ORS વાળું એનર્જીયુક્ત પાણી આપવાનો નિર્ણય મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના પાંચ મુખ્ય વિસ્તારો અને ચાર રસ્તાઓ પર મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. ઉનાળામાં શરીરમાં પાણીની ઘટ જેવી સમસ્યાઓથી બચવા માટે આ પ્લાન્ટ્સ પરથી હવે સામાન્ય પાણીને બદલે ORS વાળું એનર્જીયુક્ત પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આ સુવિધાને કારણે લોકોને ઠંડુ પાણી તો મળશે જ પરંતુ સાથે-સાથે ગરમી સામે લડવાની શક્તિ પણ મળશે. નાગરિકોને 5 રૂપિયામાં 20 લિટર ORS વાળું ઠંડું પાણી મળશેઆ અંગે વિગતો આપતા મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં પાંચ સ્થળોએ મિનરલ વોટર પ્લાન્ટ વેન્ડર મારફતે ચલાવવામાં આવી રહ્યા છે. આગામી એક મહિનાની અંદર શહેરમાં બીજા નવા છ મિનરલ પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે. આ તમામ કેન્દ્રો પર નાગરિકોને માત્ર 1 રૂપિયામાં 1 લિટર અને 5 રૂપિયામાં 20 લિટરના કિફાયતી ભાવે ઠંડુ અને ORS યુક્ત પાણી મળી રહેશે.મનપાના આ નવતર પ્રયોગથી ખાસ કરીને રાહદારીઓ,શ્રમિકો અને નોકરીયાત વર્ગને ગરમીમાં મોટી રાહત મળશે. ORS મિશ્રિત પાણી પીવાથી ઉનાળામાં થતા લૂ લાગવાના કિસ્સાઓ અને ડીહાઇડ્રેશનની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને નાના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવા માટે સરકારે સ્વદેશી મેળાનું આયોજન કર્યું હતું. આ આયોજનને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને નગરપાલિકા તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની અને વેચાણ કરવાની તક મળી હતી. આનાથી તેઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શક્યા અને આર્થિક રીતે મદદરૂપ બન્યા. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલાની ચીજો, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે મુલાકાતીઓને આકર્ષ્યા હતા. સ્થાનિક લોકોએ પણ મેળાની મુલાકાત લઈને ઉત્સાહભેર સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી. નાના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોએ સરકારના આ આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા મેળાઓથી તેમને પોતાના ઉત્પાદનો માટે બજાર મળે છે અને તેમના જીવન નિર્વાહમાં સહાયતા મળે છે. આ વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાય તેવી અપેક્ષા રાખી હતી, જેથી નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળી શકે. આ અંગેની માહિતી ગઢડાના જગદીશભાઈ વાળાએ આપી હતી.
મોરબીમાં ક્રેટા કાર અકસ્માત:રવિરાજ ચોકડી પુલ પર અજાણ્યા વાહનને ટક્કર, યુવાનનું મોત
મોરબી-માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીક રવિરાજ ચોકડીના પુલ ઉપર ગત તા. 2 માર્ચના રોજ રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક ક્રેટા કાર આગળ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે અથડાતા ધોરાજીના 27 વર્ષીય યુવાન પ્રિતકુમાર નંદલાલભાઈ ભલોડિયાનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે 11 વાગ્યાના અરસામાં પ્રિતકુમાર પોતાની ક્રેટા ગાડી (GJ 36 AL 1710) લઈને પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની કારે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રિતકુમારને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતક પ્રિતકુમાર મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના વતની હતા અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલી શ્રીમદ રાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં સિરામિક કારખાનામાં કામ કરતા હતા. અકસ્માત સમયે તેઓ કારખાનેથી પોતાના રૂમ તરફ પરત ફરી રહ્યા હતા. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા નંદલાલભાઈ વલ્લભભાઈ ભાલોડીયા (ઉં. 58, રહે. મોટી વાવડી, તા. ધોરાજી) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ ખાતે 415 વિદ્યાર્થિનીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડૉ. લલિતકુમાર પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ F.Y.B.A અને F.Y.B.Com ની વિદ્યાર્થિનીઓ માટે આ કેમ્પ 10 અને 11 માર્ચના રોજ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના મેડિકલ નિષ્ણાત ડૉ. સાજીયાબેન મુલતાની, ડૉ. ક્રિષ્નાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ ઉપરાંત, આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને સમયસર નિદાન થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મેડિકલ ઓફિસર ડૉ. અનિલભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર મેડિકલ કેમ્પનું સંચાલન કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા. હરેશભાઈ પટેલ અને હેલ્થ ચેકઅપ કમિટી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કેમ્પથી વિદ્યાર્થિનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને તેમને સમયસર તબીબી માર્ગદર્શન મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
નવસારી મહાનગરપાલિકાએ શહેરના વ્યસ્ત દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. દૂધિયા તળાવ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહત જોવા મળી રહી છે. નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ આજે સવારે 11 વાગ્યે જેસીબી મશીનો સાથે દૂધિયા તળાવ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી. આ માર્ગ પર ત્રણ મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પાલિકાએ 10.50 મીટરના સાંકડા રસ્તાને 18મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લીધો છે. નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રતીક ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધિયા તળાવથી છાપરા રોડ તરફ જતો રસ્તો ટ્રાફિક જામનું મુખ્ય કારણ હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે GPMC એક્ટની કલમ 210 હેઠળ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ સુધીના માર્ગ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. હાલનો 10.50 મીટરનો રસ્તો હવે 18મીટરનો બનશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે, ત્યાં સર્વે કરવામાં આવશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ અને GPMC એક્ટની વિવિધ કલમો હેઠળ નિયમ અનુસાર નોટિસ આપીને દબાણો દૂર કરવાની કાર્યવાહી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં ભવન્સ કોલેજ નજીક મેટ્રો બ્રિજ પાસે મોડી રાત્રે પીસીબીએ 102 લીટર દેશી દારૂનો જથ્થો રીક્ષામાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે રીક્ષાચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે રીક્ષા નંબરના આધારે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે. રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળીમળતી માહિતી મુજબ પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, શાહપુર સાબરમતી રિવરફ્રન્ટ તરફથી વિઠ્ઠલ સૈયદની ચાલી પાસેથી એક રીક્ષામાં દેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે ભવન્સ કોલેજની આગળ મેટ્રો બ્રિજ નીચેના તરફ ખુલ્લા મેદાન પાસે વોચ ગોઠવી રીક્ષાને ઉભી રાખવામાં આવી હતી. 102 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યોજોકે રીક્ષાચાલક રીક્ષા મૂકી અને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. અંધારામાં તેને પકડવા માટે દોડ્યા હતા, પરંતુ અંધારું વધારે હોવાના કારણે તેનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે રીક્ષામાં પોલીસે તપાસ કરી તો પાછળના ભાગે પેસેન્જર સીટ પર અલગ અલગ છ જેટલા મોટા પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. જે થેલાની અંદર તપાસ કરતાં દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. 102 લીટર જેટલો મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રીક્ષા નંબરના આધારે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અન્ય વિસ્તારમાંથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપાયોશહેરના સરદારનગર વિસ્તારમાંથી પણ પીસીબી દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આવતાં કુબેરનગર નહેરુનગરના મકાન આદર્શનગર સ્કૂલ પાછળ આવેલા ઇલે.પોલ નંબર KF 2143ની સામે આવેલી એક સીડી વાળા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સિલબંધ બોટલો તથા બીયરના ટીન મળી કુલ બોટલ નંગ 301 કિ.રૂ. 1,91, 142ની જપ્ત કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે કુબેર નગર વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. સપના ઉર્ફે બળેલી સુકેન ગારંગે રહે.કુબેરનગર અને નીતેશભાઇ શેતાનસીંહ મીણેકર રહે. 38 ચાલીસ મકાન સરદાર ગ્રામ રેલ્વે સ્ટેશન પાસે કુબેરનગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ
વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ, ગ્રામ્ય LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યુનિવર્સિટીમાં ભારતના 29 રાજ્ય અને 75થી વધુ દેશના 65 હજારથી વધુ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. આખી યુનિવર્સિટીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્કૂલો, કોર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
બોટાદમાં ચેક રિટર્નની અદાવતે ખેડૂત પર હુમલો:ચાર શખસે હુમલો કર્યો, પોલીસ તપાસ શરૂ
બોટાદના હડદડ ગામે ચેક રિટર્નની ફરિયાદની અદાવત રાખી ચાર શખ્સોએ એક ખેડૂત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામના 40 વર્ષીય મુકેશભાઈ જુગાભાઈ જમોડે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, બોટાદના હનુભાઈ ખોડાભાઈ ગાબુએ મુકેશભાઈને ફોન કરીને તેમની વિરુદ્ધ નોંધાવેલી ચેક રિટર્નની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ, હનુભાઈ અને તેમની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો બે મોટરસાયકલ પર મુકેશભાઈના ઘરે પહોંચ્યા હતા. તેઓએ ઘરની બહાર આવી હોબાળો મચાવ્યો હતો. જ્યારે મુકેશભાઈ બહાર આવ્યા, ત્યારે હનુભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશભાઈને ઈજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાળીયાદ પોલીસે આ બનાવ અંગે ચારેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 351(2), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ એન્ડ ઈન્ટરડિસીપ્લિનરી સાયન્સિસ (DAIS) દ્વારા આયોજિત બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ‘CISHTS-2026’નો ઇન્દુકાકા ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે પ્રારંભ થયો છે. આ પરિષદમાં અમેરિકા, સિંગાપોર, જાપાન અને ચેક રિપબ્લિક સહિત પાંચ દેશોના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આરોગ્ય, ટેકનોલોજી અને ટકાઉ વિકાસ માટે 'કન્વર્જન્ટ સાયન્સ' (વિવિધ વિજ્ઞાન શાખાઓનું સંકલન) ના મહત્વ પર ભાર મૂક્યો હતો. પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રો. ડો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, આધુનિક વૈજ્ઞાનિક સમસ્યાઓ કોઈ એક વિષય પૂરતી મર્યાદિત નથી. ડાયાબિટીસથી લઈને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોના ઉકેલ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિજ્ઞાનો વચ્ચે સંકલન અનિવાર્ય છે. મુખ્ય અતિથિ ડૉ. દિવેશ શ્રીવાસ્તવે (CSIR) મોબાઈલ ટેકનોલોજીનું ઉદાહરણ આપીને 'કન્વર્જન્ટ સાયન્સ'ની ઉપયોગિતા સમજાવી. આ પરિષદમાં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના ડૉ. કીથ પેનીપેકરે 'સ્ટ્રોક' પર પોતાનું સંશોધન રજૂ કર્યું હતું, જે વિશ્વમાં મૃત્યુ અને અપંગતાનું મુખ્ય કારણ છે. તેમણે મોલેક્યુલર સ્તરે સ્ટ્રોકની પદ્ધતિ સમજાવીને નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવાની આશા વ્યક્ત કરી. ચેક રિપબ્લિકના ડૉ. જીરી સેર્વેન્કાએ ભવિષ્યમાં વીજળી સંગ્રહ કરવા માટે નેનોમટીરિયલ આધારિત અદ્યતન બેટરી ટેકનોલોજી પર પ્રકાશ પાડ્યો હતો, જે ઊર્જા સંગ્રહ ક્ષેત્રે નવા આયામો ખોલી શકે છે. આ પરિષદમાં કુલ 463 પ્રતિભાગીઓએ નોંધણી કરાવી હતી, જેમાં પ્રોફેસર્સ, ડૉક્ટર્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક સત્રો દરમિયાન 241 પોસ્ટર પ્રેઝન્ટેશન અને 61 ઓરલ પ્રેઝન્ટેશન દ્વારા આધુનિક વિજ્ઞાનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ મલ્ટી-ડિસિપ્લિનરી ઇવેન્ટને GSBTM (ગાંધીનગર), DBT (નવી દિલ્હી) અને ANRF જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલ ખાતે નવ દિવસીય સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 15 થી વધુ વિદ્યાર્થિનીઓને આત્મરક્ષાની વિવિધ તકનીકો શીખવવામાં આવી હતી. આ તાલીમ વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેક્નિકલ ડિરેક્ટર જિજ્ઞેશકુમાર ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટેની આવશ્યક પદ્ધતિઓનું પ્રશિક્ષણ આપ્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં આત્મરક્ષા કૌશલ્યો વિકસાવવાનો, તેમનો આત્મવિશ્વાસ વધારવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં સ્વરક્ષણ માટે જરૂરી તકનીકોની જાણકારી આપવાનો હતો. આ પ્રયાસ મહિલા સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલના રેક્ટર ડૉ. અનિલા મિશ્રા અને કપિલાબેન મિસ્ત્રી, જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ, તેમજ મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડો. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાનો સહયોગ આ આયોજનમાં મહત્વપૂર્ણ રહ્યો હતો.
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જાગૃતિ અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો. પ્રિન્સિપાલ ડૉ. જે. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત વિભાગના અધ્યક્ષ ધર્મેશ એચ. પટેલ અને એસોસિયેટ પ્રોફેસર પી. એમ. દવે દ્વારા આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર અત્યંત માહિતીપ્રદ અને સર્જનાત્મક પોસ્ટર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ પોસ્ટર્સ દ્વારા વિજ્ઞાનના અટપટા સિદ્ધાંતોને સરળતાથી સમજાવવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી કેતનકુમાર પી. પટેલ, પ્રિન્સિપાલ તેમજ કોલેજના અન્ય ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા આ પ્રસ્તુતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સંશોધન વૃત્તિ અને પ્રેઝન્ટેશન કૌશલ્યના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.
આણંદ કોમર્સ કોલેજ દ્વારા ‘ક્લોથ ડોનેશન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત એકત્રિત કરાયેલા કપડાંનું સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો અને વિદ્યાર્થીઓમાં માનવતા તથા સહાનુભૂતિના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. એકત્રિત કરાયેલા કપડાંની યોગ્ય ચકાસણી કર્યા બાદ ગરીબ પરિવારોને આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન ગોરધનભાઈ એસ. પટેલ ફોરમ ફોર વેલ્યુ એજ્યુકેશનના સભ્ય ડૉ. આરતી ખાણધર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વી. એમ. વનારના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં ફોરમના કો-ઓર્ડિનેટર ડૉ. મિત્તલ ઠક્કર અને સભ્ય ડૉ. સંજય ઠક્કરનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માનવતાનો સંદેશ પ્રસરાવી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પ્રોપેન ગેસની અછત સર્જાઈ છે, જેના પરિણામે છેલ્લા ત્રણ દિવસમાં વધુ 70 પ્રોપેન ગેસ આધારિત કારખાના બંધ થઈ ગયા છે. આ સાથે, યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ 170 સિરામિક કારખાના બંધ પડ્યા છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં ઉત્પાદન માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે. નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા નિયમિત છે, પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ અને એજન્ટો દ્વારા થાય છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે આ પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના લીધે કારખાનાઓને ગેસ મળતો બંધ થઈ ગયો છે. ચાર દિવસ પહેલા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ઉદ્યોગકારો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તે સમયે માહિતી આપી હતી કે પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવાથી માત્ર બે દિવસમાં 100 જેટલા સિરામિક કારખાના બંધ થઈ ગયા હતા. જોકે, બાદમાં કેટલીક કંપનીઓ દ્વારા ટેન્કર દ્વારા ગેસ સપ્લાય થતાં અમુક કારખાના ફરી શરૂ થયા હતા. સિરામિક ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં પ્રોપેન ગેસની અછતને કારણે વધુ 70 સિરામિક કારખાના બંધ થયા છે. આમ, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ 170 કારખાના પ્રોપેન ગેસ ન મળવાને કારણે બંધ પડ્યા છે. આગામી દિવસોમાં આ આંકડો વધીને 450 સુધી પહોંચવાની શક્યતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 15 માર્ચના રોજ દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવશે. મુખ્યમંત્રીના આ સંભવિત પ્રવાસ પૂર્વે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં સીંગવડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે, જેમાં જિલ્લાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ હોવાથી કલેક્ટરે માનવીય અભિગમ સાથે આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ સૂચના આપી કે સભાસ્થળે આવતા નાગરિકો માટે પીવાના પાણીની પૂરતી સુવિધા, છાંયડો અને બેઠક વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે. સ્ટેજ સુશોભન, ભોજન-નાસ્તા, શૌચાલય અને કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે સ્થળ પર ઈમરજન્સી મેડિકલ ટીમ તૈનાત રાખવા પણ આદેશ અપાયા છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મિણા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, વન વિભાગના અધિકારીઓ બ્રિજેશ ચૌહાણ અને મિતેશ પટેલ સહિત વહીવટી તંત્રના તમામ પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવવા આયોજન કરાયું છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મતદારોની ગણતરી થશે. 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર અપાયો છે. જ્યારે 300 કર્મચારીઓ દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓના ખાસ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સિવાય 5 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રાજકોટમાં વર્ષ 2011 માં થયેલી વસ્તી ગણતરી મુજબ 13.90 લાખ જનસંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021 માં કોરોનાને કારણે વસ્તી ગણતરી ન થઈ શકે ત્યારે હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. જેને લઈને તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવી રહ્યા છે. ભારતની વસ્તી ગણતરી-2027 ની પુર્વ તૈયારી રૂપે રાજય/જિલ્લા/તાલુકા સ્તરે વસ્તી ગણતરી બાબતે મ્યુનિસીપલ કમિશ્નર/મુખ્ય અધિકારી/મામલતદાર/ વહીવટી અધિકારી વગેરે દ્વારા ક્ષેત્રિય કામગીરી કરનાર સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક કરવાની રહેશે. આમ દરેક ચાર્જ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના વિસ્તાર માટે વસ્તી ગણતરી અધિનિયમ- 1990 જોગવાઈ-3 હેઠળ સુપરવાઇઝરો/ગણતરીદારોને ભારતની વસ્તી ગણતરી-2027 ની ક્ષેત્રિત કામગીરી અને માહિતી એકત્રિત કરનાર તરીકે નિયુક્ત કરવાના થાય છે. ભારત સરકારના ડીરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સના નિયામકના તા.6 ફેબ્રુઆરી, 2026 ના પત્રથી વર્ષ-2027 માં જનગણના હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે ગુજરાત સરકારના નોટીફીકેશન તા.2 ફેબ્રુઆરી, 2026 મુજબ જનગણના -2027 ના પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે, 2029 એમ 30 દિવસના સમયગાળામાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝરોની નિમણૂંક કરવાની થાય છે. જેથી વસ્તી ગણતરીના કામે નીચે મુજબના કર્મચારીની વસ્તી ગણતરીદાર/સુપરવાઇઝર તરીકે નિમણૂંક કરવા હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ કલેકટરે 3 કર્મચારીઓના વસ્તી ગણતરીની ખાસ કામગીરી માટેના ઓર્ડર કર્યા કર્મચારીનું નામ અને હોદ્દો - ફરજની કચેરી રાહુલ ચૌહાણ (પુરવઠા નિરીક્ષક) - રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી કોમલ એન. વાઢેર (નાયબ મામલતદાર) - રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પ્રદીપ કે. પરમાર (ક્લાર્ક) - જામકંડોરણા મામલતદાર કચેરી કયા નાયબ મામલતદારને કયા બદલી ? કર્મચારીનું નામ - હાલની ફરજ - ક્યાં બદલી થઈ? 1. અંકિત શેખડા - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) - શિરસ્તેદાર (પ્રાંત કચેરી, ધોરાજી)2. કનુભાઈ પરમાર - નાયબ મામલતદાર (મામલતદાર કચેરી, ધોરાજી) - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, ધોરાજી) 3. યોગીરાજસિંહ ગોહિલ - નાયબ મામલતદાર (દબાણ -1, મામલતદાર કચેરી, લોધીકા)- શિરસ્તેદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર -1) 4. વસીમ રિઝવી - નાયબ મામલતદાર (પ્રાંત કચેરી, રાજકોટ શહેર - 1) - નાયબ મામલતદાર (રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, રાજકોટ) 5. હિતેન્દ્રસિંહ ચુડાસમા - નાયબ મામલતદાર (દબાણ - 2, મામલતદાર કચેરી, કોટડાસાંગાણી) - પુરવઠા નિરીક્ષક (જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ) વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ રાજકોટની વસ્તી કુલ વસ્તી: 13,90,640 પુરુષ વસ્તી: 52.43%સ્ત્રી વસ્તી: 47.47%સાક્ષરતા દર: 82.20%મુખ્ય ધર્મ: હિન્દુ (89.90%), ઇસ્લામ (7.68%), જૈન (1.90%)મુખ્ય ભાષા: ગુજરાતી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકાથી નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકે બાઇક પર સવાર બે સગીરને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ 13 વર્ષીય વરુણ મુકેશભાઈ મકવાણા અને 15 વર્ષીય ગણેશ ધરમશીભાઈ ધાપા તરીકે થઈ છે. આ ઘટના ગઈકાલ મોડી રાત્રિના સમયે બની હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે બગદાણા પોલીસે જાણ થતા જ વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને મહુવા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
અમરેલી જિલ્લાના ધારીના વેકરીયાપરા વિસ્તારમાં એક લગ્નના ફુલેકા દરમિયાન મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી અને બે વ્યક્તિ સામે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના રાત્રિના સમયે ડીજે સાથે વરરાજાનું ફુલેકું નીકળ્યું ત્યારે બની હતી. મનીષભાઈ જીણાભાઇ વાઘેલાના કાકાના દીકરા રમેશભાઈ ભગુભાઈ વાઘેલાના લગ્ન હતા. આ દરમિયાન આરોપી જયસુખ કિશોરભાઇ પરમાર અને અવનીશ કિશોરભાઈ પરમારે નાની ઉંમરના અલ્પેશભાઈ વાઘેલાને વગર વાંકે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે મનીષભાઈ અલ્પેશભાઈને બચાવવા અને સમજાવવા ગયા, ત્યારે આરોપીઓને તે ગમ્યું ન હતું. તેમણે મનીષભાઈને જેમફાવે તેમ અપશબ્દો આપી, શરીર પર આડેધડ મૂંઢમાર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં મનીષભાઈ જીણાભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં મહિલાઓ પણ ઉગ્ર બનેલી જોવા મળે છે.
તાપીના ઉચ્છલ તાલુકાના કુઇદાગામમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. SOG પોલીસે કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા સચિન પાટીલને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹34,032નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસ.ઓ.જી. શાખાના PI કે.જી. લીંબાચીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કુઇદાગામમાં સચિનભાઈ નગીનભાઈ પાટીલ નામનો શખ્સ લાયકાત વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. બાતમી મુજબ, સચિન પાટીલ આસપાસના ગામના બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી ગેરકાયદેસર સારવાર કરતો હતો. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો અને સચિન પાટીલને પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી જુદી-જુદી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત ₹34,032 આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના PSI એન.પી. ગરાસીયા, ASI અજયભાઈ દાદાભાઈ, ASI રાજેન્દ્ર યાદવરાવ, HC કમલેશભાઈ કૃષ્ણાભાઈ, HC શરદભાઈ સુરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ અને અક્ષયકુમાર કાંતિલાલ જોડાયા હતા.
કહેવાય છે કે “પ્રેમ આંધળો હોય છે”, પણ જ્યારે આ પ્રેમ કાયદાની મર્યાદા ઓળંગે ત્યારે પોલીસની ત્રીજી આંખ તેને શોધી જ કાઢે છે. રાજકોટના વિરપુરથી અપહરણ થયેલા એક 17 વર્ષીય સગીર અને તેની 21 વર્ષીય પ્રેમિકાને સુરત રેલવે પોલીસની શી-ટીમ દ્વારા સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પાંગર્યો હતો પ્રેમ મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) અને રાજકોટના 17 વર્ષીય સગીર રાજુ (નામ બદલ્યું છે) વચ્ચે દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંનેએ સાથે જીવવા-મરવાના કસમ ખાઈ ગત તા. 6 માર્ચના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. શી-ટીમની સતર્કતા અને સફળતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ પ્લેટફોર્મ નં-1 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જનરલ વેઇટિંગ રૂમમાં એક યુવતી અને સગીર ગભરાયેલી હાલતમાં બેઠેલા જણાતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે સગીર રાજુ ગુમ થતા તેના પરિવારે વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા ભાગ્યા સુરત રેલ્વે પોલીસે તાત્કાલિક વિરપુર પોલીસનો સંપર્ક કરી વિગતો મેળવી હતી. યુવતી સગીરને પ્રેમ કરતી હતી અને તેના પરિવારને જાણ કરતા તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા બંને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પરિવાર સાથે મિલન અને પોલીસ કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે વિરપુર પોલીસના મહિલા એ.એસ.આઈ. નેહાબેન અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સુરત આવી પહોંચ્યા હતા. સુરત રેલ્વે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સગીર બાળક અને મહિલાનો કબજો વિરપુર પોલીસને સોંપ્યો હતો. આમ, સુરત રેલ્વે પોલીસની સતર્કતાને કારણે એક સગીરને તેના પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે.

35 C