SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

શ્રમિકોના દ્વારે હવે પહોંચશે ‘દવાખાનું’:વડોદરામાં 15 ધન્વંતરિ રથ દ્વારા બાંધકામ સાઇટ પર જ મફત સારવાર મળશે

વડોદરા શહેર અને જિલ્લામાં પરસેવો પાડીને વિકાસનું સર્જન કરતા બાંધકામ શ્રમયોગીઓના સ્વાસ્થ્યની ચિંતા હવે રાજ્ય સરકાર વધુ સઘન રીતે કરશે. જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે 3 નવા 'ધન્વંતરિ રથ'ને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે જ વડોદરામાં કાર્યરત મોબાઇલ ક્લિનિકની કુલ સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. સાઇટ પર જ મળશે મેડિકલ સેવાઓગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત આ ધન્વંતરિ રથ બાંધકામની સાઇટો અને શ્રમિક વસાહતોમાં જઈને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડે છે. દરેક રથમાં એક મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન અને પેરા મેડિકલ સ્ટાફ સહિત 5 સભ્યોની ટીમ તૈનાત હોય છે. જેઓ શ્રમિકોની તપાસ કરી સ્થળ પર જ જરૂરી નિદાન અને સારવાર પૂરી પાડે છે. નવા વિસ્તારોને મળશે સેવાનો લાભઅત્યાર સુધી વડોદરામાં સાવલી, વાઘોડિયા, ડભોઇ, કપુરાઇ, પોર, કરજણ, ભાયલી, પાદરા, કોયલી, સરદાર એસ્ટેટ અને ગોત્રી જેવા વિસ્તારોમાં આ સેવા કાર્યરત હતી. હવે, નવા 3 રથ ઉમેરાતા જરોદ, છાણી અને જૂના પાદરા રોડ પર કામ કરતા શ્રમયોગીઓને પણ આ સેવાનો સીધો લાભ મળશે. નોંધનીય છે કે, હાલમાં દરેક રથ દ્વારા દરરોજ સરેરાશ 80 થી 90 દર્દીઓની તપાસ કરવામાં આવે છે. વહીવટી તંત્રની ઉપસ્થિતિઆ પ્રસ્થાન સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, પ્રોજેક્ટ ઓફિસર સહદેવસિંહ પરમાર, સેજલ પટેલ અને ઉપેન્દ્ર મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિગમથી હજારો શ્રમિકોને હોસ્પિટલ સુધી લાંબા થવાને બદલે પોતાના કાર્યસ્થળે જ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:53 pm

હારીજ પોલીસે અડિયાની અપહૃત સગીરાને શોધી કાઢી:માતા-પિતાની રજૂઆત બાદ આરોપી ઝડપાયો, કાર્યવાહી શરૂ

હારીજ પોલીસે અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે. સગીરાના માતા-પિતા અને ગ્રામજનો દ્વારા એસપી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત બાદ રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળતા મેળવી છે. પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અડિયા ગામે ગત તારીખ 3 માર્ચ, 2026 ના રોજ એક સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના સંદર્ભે હારીજ પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના દિવસો બાદ પણ દીકરીનો પત્તો ન લાગતા, સગીરાના માતા-પિતા સહિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા પાટણ એસપી કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. શરૂઆતમાં પોલીસે તેમને રોકતા થોડી બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. માતા-પિતાએ દીકરીને તાત્કાલિક શોધી લાવવા અને આરોપીની ધરપકડ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. આખરે, અપહરણ કરનાર આરોપી અને સગીરા બંનેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપી અને સગીરા બંનેને હસ્તગત કર્યા છે. રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સગીરાનું અપહરણ થયું હોવાથી હવે તેની મેડિકલ તપાસ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સગીરાના નિવેદનના આધારે આ કેસમાં કાયદેસરની કલમોનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા તપાસના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:47 pm

પાટણમાં 7 લાખના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું લોકાર્પણ:જનભાગીદારીથી ઉકરડાની જગ્યાએ નંદનવન બન્યું, ચીફ ઓફિસરે ઉદ્ઘાટન કર્યું

પાટણના વાળીનાથ ચોક વિસ્તારમાં આશરે 7 લાખ રૂપિયાના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગની કેનાલ પાસેના ગંદકીના સ્થળને દૂર કરી જનભાગીદારીથી તૈયાર કરાયેલા આ ઉદ્યાનનું લોકાર્પણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે થયું હતું. સ્થાનિક સંગઠન દ્વારા એક વર્ષની મહેનત અને શ્રમદાન બાદ આ પ્રકૃતિ ઉદ્યાન સાકાર થયો છે. સરસ્વતી જળાશય યોજના વિભાગની કેનાલ પાસે અગાઉ કચરાના ઢગલા, પ્લાસ્ટિક અને ઉકરડા હતા, તે જગ્યાએ હવે સુંદર બગીચો બન્યો છે. ઉદ્યાનના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે નાગરિકોની આ પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, નગરપાલિકા પર નિર્ભર રહેવાને બદલે નાગરિકો પોતાની જવાબદારી સમજી સહયોગી બને તે જરૂરી છે. તેમણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો. ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું કે, પાટણને સ્વચ્છ રાખવા માટે જરૂરી 1000 કામદારોની સામે માત્ર 240 કામદારો હોવા છતાં પાલિકા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તેમણે રેતી ભરીને દોડતા ડમ્પરો શહેરની સ્વચ્છતા બગાડતા હોવાનું પણ જણાવ્યું હતું. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અને બ્લોક જેવી સુવિધાઓ માટે તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રકૃતિ ઉદ્યાનમાં દાતાઓના આર્થિક યોગદાનથી બાળકો માટે લપસણી, હિંચકા અને ચકડોળ જેવા રમત-ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. સિનિયર સિટીઝનો અને સ્થાનિક રહીશોના શ્રમયજ્ઞથી આ વિસ્તારનો સંપૂર્ણ કાયાકલ્પ થયો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ દેસાઇ અને ભુદરભાઈ જોશી સહિતની ટીમે કર્યું હતું, જ્યારે બાબુ દેસાઈએ ઉદ્ઘોષક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે વિવિધ સોસાયટીના હોદ્દેદારો અને પ્રકૃતિપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છગનભાઈ, હેતલભાઈ, બાબુભાઈ, કનુભાઈ, રણછોડભાઈ અને રાજુભાઈ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:44 pm

વાપીમાં રૂ. 13.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે બલીઠા બ્રિજ પાસે નાકાબંધી કરી ટેમ્પોમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના બાદ તહેવારોને ધ્યાનમાં રાખીને હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વાપી ટાઉન પોલીસે બલીઠા બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન રૂ. 13.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે GJ-15-AT-1797 નંબરના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બલીઠા બ્રિજ નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને વાહન રસ્તા પર જ મૂકી અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 8,352 બોટલો મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહીમાં આશરે રૂ. 13,59,600 કિંમતનો દારૂ અને લગભગ રૂ. 6 લાખ કિંમતનો ટેમ્પો મળી, કુલ રૂ. 19,59,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાપી ટાઉન પોલીસે હાલ દારૂનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:40 pm

16 વર્ષીય સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:દુષ્કર્મ પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ, પેનલમાં સિનિયર ડોક્ટરો હશે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી 16 વર્ષીય સગીરાના 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભાપાત માટે અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ, સગીરા આ ગર્ભ રાખવા માગતી નથી, જેથી ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગરની હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. જેનો હકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. બાળક જીવિત જન્મે તો બન્નેની કાળજી લેવાશેસગીરાના ગર્ભપાત માટે ડોક્ટર પેનલની રચના કરવામાં આવશે, જેમાં સિનિયર ડોક્ટરો પણ ઉપસ્થિત રહેશે. ગર્ભપાત કરતા પહેલા સગીરાને તેના જોખમ વિશે માહિતગાર કરવામાં આવશે. જો બાળક જીવિત જન્મે તો સગીરા અને બાળક બંનેની યોગ્ય કાળજી રાખવામાં આવશે. સગીરા બાળક રાખવા માગતી ન હોય તો આગળ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. DNA સેમ્પલની વિગતો તપાસ અધિકારીને સોંપવા હુકમસગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપી સામે ડિસેમ્બર, 2025માં ડભોડા પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. હાઇકોર્ટે ડોક્ટરોને સગીરાના ગર્ભના ડીએનએ સેમ્પલની વિગત તપાસ અધિકારીને સોંપવા પણ હુકમ કર્યો છે. સગીરાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જોતા, તેમજ ઘર પર રાખવાથી થતી સામાજિક અસરોને ધ્યાને લઈને ઉપરોક્ત હુકમ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:35 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચે જામનગરની મુલાકાતે:કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 19 માર્ચે જામનગરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 કલાકે હાપા માર્કેટિંગ યાર્ડથી થશે. અહીં તેઓ ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સવારે 11:00 કલાકે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જામનગર શહેરના આશરે 190 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત હસ્તકના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્યો રાઘવજી પટેલ, મેઘજી ચાવડા અને દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહેશે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ જામનગરના નવા ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. આ આગામી કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:35 pm

બે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી:રાજકોટનાં વિકાસ માટે રૂડાનું રૂ.302.32 કરોડનું બજેટ મંજૂર, નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા કમિશનરે ખાતરી આપી

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 16-03-2026ના રોજ 181મી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો અને નવી નગર રચના યોજનાઓ (ટીપી સ્કીમ) અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે. ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજકોટના ભવિષ્યના વિકાસનો નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા માટેની ખાતરી મ્યુ. કમિશનર અને રૂડા ચેરમેન તુષાર સુમેરાએ આપી છે. નવી નગર રચના યોજનાઓનો ઇરાદો જાહેર શહેરના ભૌગોલિક વિસ્તારમાં થતા સતત વધારાને ધ્યાનમાં રાખીને, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળ દ્વારા બે મહત્વની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. * નગર રચના યોજના નં.39/2 (બેડી): બેડી વિસ્તારના વિકાસને વેગ આપવા માટે આ સ્કીમ અત્યંત મહત્વની સાબિત થશે. અહીં રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ અને પ્લોટિંગનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. * નગર રચના યોજના નં.44 (પાળ-કાંગશિયાળી): પાળ અને કાંગશિયાળી જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રહેણાંક અને વ્યાપારી સુવિધાઓ ઊભી કરવાના હેતુથી આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ નવી ટીપી સ્કીમ્સના કારણે અનિયંત્રિત બાંધકામો પર રોક લાગશે અને લોકોને કાયદેસરના પ્લોટ તેમજ રસ્તા, ડ્રેનેજ અને લાઈટ જેવી પાયાની જરૂરિયાતો સુવ્યવસ્થિત રીતે મળી શકશે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની બોર્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકના મુખ્ય 3 એજન્ડા હતા, જે પૈકી વર્ષ 2026-27નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રૂડા દ્વારા હવે રાજકોટ કોર્પોરેશનની બોર્ડરમાં આવેલા વિસ્તારો અને આઉટગ્રોથ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની જવાબદારી લેવામાં આવી છે. આ વિસ્તારોમાં રોડ, પાણી સહિતની તમામ માળખાગત સુવિધાઓ માટે અલગથી DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમાં, બોર્ડ બેઠકમાં 2 નવી ટીપી સ્કીમ બનાવવાના ઈરાદા જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં કુલ 9 ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આગામી વર્ષે રૂડાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે રૂડા દ્વારા મોટા પાયે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને આઉટગ્રોથ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટેનું આયોજન છે. આ ઉપરાંત, રિંગ રોડના કામને 3 ફેઝમાં વહેંચીને ટાર્ગેટ મુજબ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે. નિયત સમયમર્યાદામાં બધા કામો પૂર્ણ થતાં નવા રિંગરોડ પરથી પસાર થતા લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે. મુખ્ય પ્રોજેક્ટ્સ અને વિકાસલક્ષી આયોજનો 1. આધુનિક રોડ નેટવર્ક અને કનેક્ટિવિટી:નવી મંજૂર થયેલી ટીપી સ્કીમ નં.39/2 (બેડી) અને ટીપી સ્કીમ નં.44 (પાળ-કાંગશિયાળી) અંતર્ગત મુખ્ય ડી.પી. રોડ અને આંતરિક રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પહોળા રસ્તાઓ અને જંકશન રિમોડેલિંગના કામો હાથ ધરાશે, જે રાજકોટ શહેરને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગોને વધુ સુગમ બનાવશે. 2. પાયાની જનસુવિધાઓનું વિસ્તરણ:બજેટની મોટી રકમ ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય લાઈન્સ અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના કામો માટે ફાળવવામાં આવી છે. ખાસ કરીને પાળ અને કાંગશિયાળી જેવા વિસ્તારોમાં નવી સોસાયટીઓ બનતી હોવાથી ત્યાં પીવાના પાણીની લાઈન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના વિસ્તરણના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા અપાશે. 3. સામાજિક આંતરમાળખું અને સુવિધા પ્લોટ્સ:નગર રચના યોજનાના નિયમો મુજબ, રૂડા દ્વારા સંપાદિત કરવામાં આવતી જમીનમાં ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડી, હેલ્થ સેન્ટર અને શાળાઓ માટે પ્લોટ્સ અનામત રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને નજીકમાં જ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. 4. પર્યાવરણ અને ગ્રીનરી:બજેટમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. રૂડા હેઠળના વિસ્તારોમાં 'ગ્રીન બેલ્ટ' વિકસાવવા અને હયાત તળાવોના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂકવામાં આવશે. નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ.302.32 કરોડનું બજેટ રાજકોટના વિકાસની ગતિને અવિરત રાખવા માટે રૂડા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ રૂ.302.32 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. આ બજેટમાં શહેરના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય માર્ગોનું વિસ્તૃતિકરણ, બ્રિજ નિર્માણ અને બાગ-બગીચા જેવી જનસુવિધાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટ રાજકોટના આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવામાં મહત્વનું સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વહીવટી તંત્રના અને લોકપ્રતિનિધિઓના સમન્વય સાથે નિર્ણયો લેવાયા હતા. જેમાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, વહીવટદાર રેમ્યા મોહન સહિત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતનાઓ ખાસ હાજર રહ્યા હતા. બેઠકના અંતે સભ્યોએ રાજકોટના ઝડપી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બોર્ડ બેઠકના નિર્ણયથી રાજકોટના રીયલ એસ્ટેટ સેક્ટર અને સામાન્ય જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:27 pm

ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ:પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો, સેવાઓને બિરદાવી

ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવી હતી. વિદાય સમારોહમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા અઢી વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગામી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:26 pm

પાટડીના યુવાનનું ડેડીયાસણ પાસે અકસ્માતમાં મોત:એક્ટિવા સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક યુવાનનું ડેડીયાસણ ગામ નજીક અકસ્માતમાં મૃત્યુ થયું છે. પાટડીથી વિરમગામ જઈ રહેલા રાજેન્દ્રસિંહ પરમારનું એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ફુલકી પાસે ડેડીયાસણ ગામ નજીક ડાયવર્ઝન પાસે બની હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ યુવાનને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. વિરમગામ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહ પરમારને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં મૃતક યુવાનના પરિવારજનો ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં રાજેન્દ્રસિંહ પરમારનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પાટડી ખાતે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:23 pm

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ:એસોસિયેશને બેઠક બાદ નિર્ણય લીધો, ઈરાન સામે અમેરિકા યુદ્ધના કારણે ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતા

મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતાને કારણે એક મહિના માટે બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે. આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે યોજાયેલી બેઠકમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. મોરબી અને આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાના લગભગ 650 સિરામિક કારખાનાઓ 24 કલાક કાર્યરત રહે છે. જોકે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસનો પુરવઠો અનિયમિત બન્યો છે. આ ઉપરાંત, નેચરલ ગેસનો માસિક વપરાશનો 80% જથ્થો પણ મોટાભાગના ઉદ્યોગકારોએ વાપરી નાખ્યો છે, જેના કારણે કેટલાક કારખાનાઓમાં નેચરલ ગેસનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે. આ પરિસ્થિતિને પગલે, મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે ચારેય ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાજર 500 જેટલા ઉદ્યોગકારોએ ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ બંનેની ઉપલબ્ધતા અને ભાવ નિશ્ચિત ન હોવાથી ઉદ્યોગ ચાલુ રાખવો અશક્ય હોવાનું જણાવ્યું હતું. આથી, ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના માટે સિરામિક ઉદ્યોગને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, ગેસની ઉપલબ્ધતા અને ભાવ નિશ્ચિત થયા બાદ જ સિરામિક ઉત્પાદનોના નવા ભાવ સાથે ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:20 pm

એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પ:વિધાનસભાના અધ્યક્ષના હસ્તે કેમ્પનો શુભારંભ, રોગના આગોતરા નિદાન પર ભાર

ગુજરાત વિધાનસભા ખાતે આજે એક વિશેષ તબીબી વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. રોગના આગોતરા નિદાન પર ભારઆ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રિવેન્ટિવ હેલ્થ કેરના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સતત લોકસેવામાં કાર્યરત રહેતા મહાનુભાવોના સ્વાસ્થ્યની દરકાર કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બિમાર પડ્યા પછી સારવાર લેવા કરતા રોગનું વહેલું નિદાન થાય તે વધુ અનિવાર્ય છે. સમાજમાં ધારાસભ્યો અને પત્રકારો બંનેની ભૂમિકા અત્યંત મહત્વની હોવાથી તેમનું તંદુરસ્ત રહેવું જરૂરી છે. પત્રકારો અને ધારાસભ્યોની કામગીરીની સરાહનાશંકરભાઈ ચૌધરીએ પત્રકારોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ જેવી કે તડકો, વરસાદ કે કુદરતી આફતોમાં પણ જીવના જોખમે રિપોર્ટિંગ કરતા હોય છે. સતત બદલાતી ઘટનાઓ અને કામના ભારણને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. તેવી જ રીતે ધારાસભ્યો પણ પ્રજાના પ્રશ્નો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે માનસિક તણાવ અનુભવતા હોય છે. આ વ્યસ્તતા વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાય તે માટે આ 1 દિવસીય કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો અભિગમઆરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બને તે આ કેમ્પનો મૂળ હેતુ છે. ઘણીવાર વ્યસ્ત દિનચર્યાને કારણે નાની બીમારીઓ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે, જેનું નિદાન અહીં શક્ય બનશે. ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ કિશોર અંજારીયાએ ઉમેર્યું હતું કે છેલ્લા 15 વર્ષથી તેઓ આ પ્રકારે મેડિકલ કેમ્પ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. નિષ્ણાંત તબીબો અને આધુનિક સુવિધાઓઆ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ અને ઇસીજી જેવા ટેસ્ટની સ્થળ પર જ વ્યવસ્થા કરવામાં આવી હતી. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના હૃદયરોગ નિષ્ણાંતો, ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંતો અને કિડની હોસ્પિટલના નિષ્ણાંતો પણ જરૂરી સાધનસામગ્રી સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક અને ગાયનેક જેવા વિવિધ વિભાગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવાઓ આપી હતી. જો કોઈને વધુ તપાસની જરૂર જણાશે તો તેમને GMERS મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, રમણભાઈ વોરા, સંજય કોરડીયા સહિત અનેક ધારાસભ્યો, સંયુક્ત સચિવ રીટા મહેતા અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:15 pm

માંજલપુરમાં રાજ્યકક્ષાનો બેટરી ટેસ્ટ પ્રારંભ:મધ્ય-દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાના 1254 ખેલાડીઓ DLSS યોજના હેઠળ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની Sports Authority of Gujarat દ્વારા વર્ષ 2026–27 માટે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી આયોજિત આ કસોટી આગામી 20 માર્ચ સુધી ચાલશે. 9 જિલ્લાના ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગઆ પસંદગી પ્રક્રિયામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદયપુર અને નર્મદા જિલ્લાના 1254 ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ અગાઉ જિલ્લા કક્ષાએ વિજેતા થઈને અહીં સુધી પહોંચ્યા છે. સાત વિવિધ કસોટીઓ દ્વારા ક્ષમતાનું માપનખેલાડીઓની સર્વાંગી શારીરિક ક્ષમતા ચકાસવા માટે માંજલપુર ખાતે 7 અલગ-અલગ ટેસ્ટિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરાના જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, નીચે મુજબની કસોટીઓ દ્વારા ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે: 30 મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ: ઝડપ (Speed) ચકાસવા માટે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ: પગની શક્તિ માપવા માટે. મેડિસિન બોલ થ્રો: શરીરના ઉપરના ભાગની તાકાત જાણવા. વર્ટિકલ જમ્પ: સ્ફોટક શક્તિ (Explosive Power) માપવા. શટલ રન: ચપળતા (Agility) ની કસોટી. સીટ એન્ડ રીચ: લવચીકતા (Flexibility) ચકાસવા. 800 મીટર દોડ: સહનશક્તિ (Endurance) ની પરખ કરવા. ખેલાડીઓને મળશે વૈશ્વિક સુવિધાઓપબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ચાલતી DLSS યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બેટરી ટેસ્ટમાં ઉત્તીર્ણ થનારા ભાગ્યશાળી ખેલાડીઓને રાજ્યની નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. આ સ્કૂલોમાં ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વ્યાવસાયિક રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:11 pm

વડોદરા જેલમાં બંધ કાચા કામના કેદીનું મોત:ગભરામણ થયા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા, બે કામદારોના આકસ્મિક મોતના કેસમાં જેલમાં હતા

વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના (અંડરટ્રાયલ) આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા (ઉંમર 63)નું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આરોપી વડોદરાના વરણામાં પોલીસ મથકમાં બેદરકારી બદલ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધાયો હતી. જેમાં બે કામદારોના મોત થતા ત્રણ સામે કાર્યવાહી ચાલી રહી હતી જેમના આ એક આરોપી હતા. બે કામદારોના મોત કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતામળતી માહિતી અનુસાર, જયેશભાઈ નટવરભાઈ પંડ્યા શહેરના સુભાષપાર્ક સોસાયટી, હરણી રોડના રહેવાસી હતા. તેઓ ગત 5 માર્ચ, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે આવ્યા હતા. તેમની સામે વારાસણા પોલીસ મથકમાં BNS કલમ 105, 54 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેલમાં તેઓને આજે સવારે રૂટિન મુજબ મેડિકલ પણ કરવામાં આવ્યું છે. પરંતુ બાદમાં અચાનક ગભરામણ થતા તબિયત બગડી હોવાનું જણાતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોનો જેલતંત્ર પર આક્ષેપપરિવારજનોનો આક્રોશ છે કે તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં થયેલા મોતને કારણે તેઓમાં રોષ વ્યાપ્યો છે. મૃતદેહને હાલ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેને પરિવારને સોંપવામાં આવશે. પોલીસ અને જેલ વિભાગ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ શું હતી? વડોદરા નજીક આવેલ ખટંબા ખાતે ગટરમાં કોઈપણ પ્રકારના સાધનો સિવાય બે કામદારોને સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગેસની અસર થતા ગુંગળામણ કારણે બંને કામદારના મોત થયા હતા. સુરક્ષાના સાધનો સિવાય કામદારોને કામગીરી માટે ઉતાર્યા હોય બંને કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી રાખવવામાં આવી હતી. જેથી પોલીસે આ બંને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ત્રીજા આરોપી તરીકે જયેશભાઈ નટવરભાઈ પંડ્યા ને ઝડપી લેવામાં આવ્યા હતા. મહેસાણા ખાતે રહેતા જયંતિ અંબાલાલ પટેલ જયંતિ સુપર કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડના પ્રોપ્રાઈટર છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ગત 2 નવેમ્બર 2022ના રોજ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી પાસેથી ટી.પી.સ્કીમ નં.25 (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટમ્બા) ખાતે આવેલી 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી કન્સ્ટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાફ્ટ એગ્રીમેન્ટમાં કરેલ કડીશન મુજબ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા ટેન્ડરની કડીશનની શરતોનો ભંગ કરી ગ્રીસ્વા ઇન્ફા પ્રોજેક્ટ એલએલપી અમદાવાદના પ્રોપ્રાઈટર સંજય માધવજીભાઈ ખુંટને ડ્રેનેજની લાઈનની કામગીરી કરવા માટેનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પેટા કોન્ટ્રાક્ટર સારી રીતે જાણતા હતા કે ગટરમાં સાફસફાઈ કરવા માટેના સલામતીના સાધનો વિના ગટરમાં ઉતરી કામ કરવામાં આવે તો ગેસ ગળતર થવાના કારણે ગૂંગળામણ થવાના કામદારોનું મોત પણ થઈ શકે છે તેમ છતા તેઓએ અક્ષયભાઇ શનાભાઇ ભાભોર (ઉ.વ.23 રહે. સરસોડા તા.ગરબાડા, જી.દાહોદ તથા વિપુલભાઈ મનસુખભાઇ માંગરોલિયા( રહે. સી/501, શિવમ રેસિડન્સી, ગાયત્રી બંગ્લોઝ સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ શહેર)ને સલામતીના સાધનો જેવા કે કપડા, હાથના ભારે અને લાંબા રબરના મોજા, શ્વસન સુરક્ષા માટે ફેસમાસ્ક, રેમ્પીરેટર માટે ઓક્સિજન ગેસની વ્યવસ્થા, આંખો અને ચહેરા માટે સેફટી ગોગલ્સ અથવા ફ્રેસ શિલ્ડ, હાર્નેસ સાથે ટ્રાઈપોડ વિગેરે પુરા નહિ પાડી તેઓની પાસે ગટર લાઈનના કન્સ્ટ્રકશનની સાથે સાથે ગટર લાઈનમાં ઉરીને ડ્રેનેજની સાફસફાઈ કરી કન્સ્ટ્રકશનની કામગીરી કરવાનું કામ સોંપ્યું હતું. બંને કામદાર ડ્રેનેજમાં કામગીરી કરવા ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણ થતા બન્ને ના મોત નીપજ્યા હતા. જેથી ફરિયાદ મૃતકના ભાઈએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ કરતા સલામતીના સાધનો સિવાય ગટર લાઈનની ચેમ્બરમાં ઉતરી સાફસફાઈની કામગીરી કરવા જતા ગટર લાઈનમાં રહેલ ગેસની અસર થતા બેભાન થઇ જતા બંનેનું મોત નીપજયુ હતું. જેથી વરણામા પોલીસે બેદરકારી રાખનાર બંને કોન્ટ્રાકટર જયંતી પટેલ તથા સંજય ખૂટ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં મૃતકની ત્રીજા આરોપી તરીકે પોલીસે ગત 2 માર્ચના રોજ અટક કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 2:00 pm

એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડતા 30 પરિવારો રસ્તા પર આવી ગયા:માતાએ રડતા રડતા કહ્યું-'આ બાળકને ભૂખ લાગી છે, હું એને ખાવાનું ક્યાંથી લાવી આપું, અમે ક્યાં જઈએ?

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા અંબિકાધામ એપાર્ટમેન્ટના ગતરાત્રે બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેને પગલે 30 મકાનમાં રહેતા લોકો પરિવાર સાથે રસ્તા પર આવી ગયા છે. આખી રાત રહીશોએ રસ્તા પર વિતાવી હતી અને આજે બીજા દિવસે પણ ખાવાના ફાંફા છે. બે દિવસથી બાળકો અને રહીશો જમ્યા નથી. દિવ્ય ભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે રહીશો રસ્તા પર બેઠેલા જોવા મળ્યા અને રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડ્યા બાદ 30 પરિવારો રસ્તા પર પીડિત વર્ષાબેન ગોહિલે જણાવ્યું હતું કે, અમને હજુ સુધી કોઈ જ મદદ મળી નથી. બધું અચાનક જ ધરાશાયી થઈ ગયું. કાલ રાતથી અમે લોકો આવી રીતે રસ્તા પર બેઠા છીએ. ઘણા અધિકારીઓ આવ્યા હતા, ભથ્થુભાઈ આવ્યા હતા, રબારી સાહેબ આવ્યા હતા, પણ આવીને બધા જતા રહ્યા. અમને કોઈ વ્યવસ્થા મળી નથી. નાના બાળકોને લઈને અમે અત્યારે રોડ પર બેઠા છીએ. અમારા ખાવા-પીવાની કે રહેવાની કોઈ સગવડ થાય તો સારું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે અમે અને બાળકો બધા ઘરમાં જ હતા. ભગવાનની કૃપાથી અમે બચી ગયા, બાકી ખબર નહીં શું હાલત થાત! પણ એક બેન છે જે અત્યારે ખૂબ ગંભીર હાલતમાં છે. એ બેન બહાર ગેલેરીમાં ઊભા હતા અને અચાનક ત્રીજા માળેથી નીચે પડ્યા. હાલ તે ખૂબ જ ગંભીર છે અને ICUમાં દાખલ છે. તેમનું નામ તેજલબેન છે. અમે ક્યાં જઈએ અહીં અમારા કોઈ સગા વ્હાલા નથી- હેમાબેનપીડિત મહિલા હેમાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, અમે તો મૂળ ઉત્તરાખંડના છીએ, પણ અહીં ઘણા સમયથી રહીએ છીએ. અહીં અમારું કોઈ નથી સાહેબ. આ બાળકને ભૂખ લાગી છે, હું એને ખાવાનું ક્યાંથી લાવીને આપું? બાળક રડી રહ્યો છે કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે... હું એને શું ખવડાવું? બાળકે કંઈ જ નથી ખાધું. અમે આખી રાત રોડ પર વિતાવી છે. બધા લોકો રોડ પર જ હતા. અમે ક્યાં જઈએ? અમારું અહીં કોઈ સગું-વહાલું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મૂળ ઉત્તરાખંડના છીએ. મને અહીં રહેતા 15-16 વર્ષ થઈ ગયા છે. મારા લગ્ન થયા ત્યારથી હું અહીં જ રહું છું. ઘટના સમયે હું તો ઉપર ઘરની અંદર જ હતી. બાળકો નીચે હતા. બાળકો તો માંડ માંડ બચ્યા છે, પડતા-પડતા રહી ગયા. બે બાળકો હતા. એમની મમ્મી નીચે પડી ગઈ... હવે આ બાળકોને ભૂખ લાગી છે, હું ખાવાનું ક્યાંથી લાવું? અમે ક્યાં જઈએ? અમારું કોઈ નથી અમને દોરડા બાંધી નીચે ઉતારવામાં આવ્યા- પ્રાપ્તિ પવારપ્રાપ્તિ પવારે જણાવ્યું હતું કે, ગત રાત્રે જ્યારે આ ઘટના બની, ત્યારે ખૂબ જ અફરાતફરીનો માહોલ હતો. જે બાજુથી રસ્તો સારો હતો ત્યાંથી કેટલાક લોકો નીચે ઉતર્યા હતા, પણ બાકીના લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા નીચે લાવવામાં આવ્યા હતા. અમને તો દોરડા બાંધીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. અમે રાતથી અહીં રસ્તા પર જ બેઠા છીએ. ગઈકાલે રાત્રે તો થોડો નાસ્તો કર્યો હતો, પણ આજે હજુ સુધી કશું જ જમ્યા નથી. નથી નહાવા-ધોવાની સગવડ કે નથી રહેવાની કોઈ વ્યવસ્થા. અમે લોકો પહેરેલા કપડે જ રસ્તા પર બેઠા છીએ. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમે બધા મધ્યમ વર્ગના લોકો છીએ. અમારામાંના ઘણા લોકોએ તો હજુ મકાનના હપ્તા પણ પૂરા ભર્યા નથી. આવી સ્થિતિમાં અમે ન તો ભાડે રહી શકીએ તેમ છીએ, ન તો નવું મકાન બનાવી શકીએ તેમ છીએ. અમારી એક જ માંગ છે કે સરકાર અમને ઘર બનાવી આપે, જેથી અમે અમારું ગુજરાન ચલાવી શકીએ. બાળકો પણ અમારી સાથે અહીં જ છે. ઘણા બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, પણ તેમના પુસ્તકો અને સામાન બધું અંદર જ રહી ગયું છે. બાળકો ભૂખ્યા-તરસ્યા અમારી સાથે રસ્તા પર રઝળી રહ્યા છે. અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી અમને મળવા કે અમારી સમસ્યા સાંભળવા આવ્યું નથી. વિદ્યાર્થીઓના પુસ્તકો ફ્લેટમાં જ રહી ગયાવિધાર્થીની માનસીએ કહ્યું હતું કે, અમારું ઘર કાલે સવારે 8:30 - 9:00 વાગ્યાની આસપાસ ગેલેરી તૂટી પડી હતી. મારા ભણવાના પુસ્તકો અને અન્ય તમામ સામાન હજુ પણ ઘરની અંદર જ છે. હવે અમારી પાસે પુસ્તકોની કોઈ વ્યવસ્થા નથી, તો અમે ભણી કેવી રીતે શકીએ? હવે માત્ર 10 દિવસમાં જ પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે અમારી પાસે વાંચવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. મારી સરકારને એક જ વિનંતી છે કે અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. અમને પુસ્તકો અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જ અમે આગળ ભણી શકીએ. નહીં તો આખું વર્ષ બગડશે તેવી અમને બીક છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તે ICUમાં છે. ફાયર બ્રિગેડે 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. અસરગ્રસ્તોને વુડાના ખાલી મકાન આપવા રજૂઆતપૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને મળીને માનવતાના ધોરણે રહીશોને વુડાના ખાલી મકાનો ફાળવવા માટે રજૂઆત કરી હતી અને આ મામલે તથા તટસ્થ તપાસની માંગ કરી હતી. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાએ મોડે મોડે નોટીસ આપી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:51 pm

દાદાની નજર સામે 21 વર્ષીય પૌત્રીનું અપહરણ:માણસાના લીમ્બોદરામાં હથિયારધારી ટોળકી પરિવાર પર હુમલો કરી પરિણીત યુવતીને ઉઠાવી ગયાં

માણસાના લીમ્બોદરા ગામમાં પશુપાલક પરિવાર પર હથિયારધારી ટોળકીએ હુમલો કરી પરિવારના સભ્યોને માર મારી 21 વર્ષીય પૌત્રીનું ફિલ્મી ઢબે અપહરણ કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ મામલે માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારે યુવતીના લગ્ન દોઢ મહિના પહેલાં જ કર્યા હતા માણસાના કલ્યાણપુરા પાટિયા રહેતા 65 વર્ષીય રામશીભાઈ સામંતભાઈ ભરવાડ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમની 21 વર્ષીય પૌત્રી ગોપીના લગ્ન કડીના વાધરોડા ખાતે રહેતા જીગ્નેશ લક્ષ્મણભાઇ ભરવાડ સાથે દોઢેક મહિના અગાઉ સમાજના રીત રીવાજ મુજબ કરવામાં આવ્યા હતા. કાળા કાચ વાળી કારમાં આવેલા શખસોએ અપહરણનો પ્રયાસ કર્યો15 માર્ચના રોજ ગોપી રામશીભાઈની ખબર અંતર પૂછવા આવી હતી. તે વખતે સવારના એક કાળા કાચ વાળી વેગેનાર ગાડીમાંથી બુકાનીધારી ત્રણેક શખસો ઘરે પહોંચ્યા હતા અને કપડાં ધોવા બેઠેલી ગોપીબેનનો હાથ પકડી ઘસેડીને ગાડીમાં લઈ ગયા હતા. જોકે, પરિવાર પહોંચી જતા ઝપાઝપી પછી અપહરણકારો ગાડી લઈને નાસી ગયા હતા. આરોપીઓએ ફરી આવી પરિવાર પર હુમલો કર્યોત્યારબાદ બપોરના ફરીથી એક વેગેનાર ગાડી આવી હતી, જેની પાછળ કાચના ભાગે રામાધણી લખેલ હતુ. તેમાંથી આશરે પાંચેક માણસો તથા પાંચેક જેટલા બાઇક લઇને આઠથી દસ શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો હતો. જે પૈકી રાકેશજી અશોકજી ઠાકોર તથા પ્રદીપ દલુજી ઠાકોર (બંને.રહે-ઈટલા તા-કલોલ) હતા. પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરીઆ દરમિયાન રાકેશજીએ છરી વડે રામશીભાઈ પર હુમલો કર્યો હતો. જ્યારે અન્ય એક ઈસમે તેમના ભત્રીજા જ્યંતિભાઈને પાઇપ મારી હતી અને તેની પત્નીને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં ટોળકીએ પરિવાર સાથે ઝપાઝપી કરી ગોપીબેનનું અપહરણ કરી ગાડીમાં નાસી ગયા હતા. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:32 pm

દાહોદમાં પૂર્વ કાઉન્સિલર રખડતા ગધેડાની અડફેટે આવ્યા, સારવાર દરમિયાન મોત:કોંગ્રેસની આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

દાહોદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના પૂર્વ નેતા દિનેશકુમાર સીકલીગરનું રખડતા ગધેડાની અડફેટે આવ્યા બાદ સારવાર દરમિયાન કરુણ મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકરોએ કલેક્ટર કચેરી ગજવી હતી. કોંગ્રેસે તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો રખડતા પશુઓનો નિકાલ નહીં થાય તો આત્મવિલોપન કરતા પણ અચકાઈશું નહીં. ગત તારીખ 22/01/2026 ના રોજ દાહોદ નગરપાલિકાના પૂર્વ નેતા દિનેશકુમાર સીકલીગર પોતાના અંગત કામ અર્થે શહેરના માર્ગો પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રોડ પર રખડતા એક ગધેડાએ તેમને અડફેટે લીધા હતા. ગધેડાની ટક્કર એટલી પ્રચંડ હતી કે દિનેશભાઈ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને મગજના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલના બિછાને 29 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે સતત સંઘર્ષ કર્યા બાદ આખરે તારીખ 20/02/2026 ના રોજ તેમનું દુઃખદ અવસાન નીપજ્યું હતું. આ અકાળે અવસાનને કારણે સીકલીગર પરિવારનો મુખ્ય આધારસ્તંભ તૂટી પડ્યો છે. 10 દિવસથી ધરણા પર બેઠા છીએ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી- હર્ષદ નિનામા આવેદન પત્ર આપ્યા બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓના ત્રાસને લઈને અમે છેલ્લા 10 દિવસથી નગરપાલિકા ખાતે ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ. શહેરમાં રખડતા ઢોર, કુતરા અને ગધેડાના કારણે લોકોના હાથ-પગ તૂટી રહ્યા છે અને મૃત્યુ થઈ રહ્યા છે. આ સમસ્યા અત્યંત ગંભીર છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. અમે કલેક્ટરને આવેદન આપીને માત્ર 3 દિવસનો સમય આપ્યો છે.” આત્મવિલોપન અને આમરણાંત ઉપવાસની ચીમકી જિલ્લા પ્રમુખે વધુમાં કહ્યું કે, જો આગામી 3 દિવસમાં દાહોદ શહેરમાંથી રખડતા પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર ઉતરીશું. જો જનતાના હિત માટે જરૂર પડશે તો અમે આત્મવિલોપન કરતા પણ પીછેહઠ નહીં કરીએ. કોંગ્રેસની આ ચીમકીને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્માર્ટ સિટીના નામે ચાલતા ભ્રષ્ટાચાર અને જનતાની સુરક્ષાના મુદ્દે હવે આરપારની લડાઈના મંડાણ થયા હોય તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસે આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે દાહોદ હવે સ્માર્ટ સિટી નહીં પણ 'ફોરેસ્ટ સિટી' જેવું ભયાનક લાગી રહ્યું છે. શહેરના દરેક માર્ગો પર પશુઓનું સામ્રાજ્ય છે. પશુઓ પકડવા માટે જે એજન્સીઓ નક્કી કરાઈ છે, તે માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે.પૂર્વ કાઉન્સિલર દિનેશકુમાર સીકલીગરના નિધનથી તેમના પરિવારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ મોત માટે સંપૂર્ણપણે નગરપાલિકા અને વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર છે, તેથી પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક વળતર ચૂકવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:26 pm

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું:ઈરાક સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધના વાદળ વચ્ચે ગેસ સપ્લાય; LPG પુરવઠા અનલોડ કરવાનું શરૂ

જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ખંભાળિયાના વાડીનારથી આશરે 10-11 નોટિકલ માઈલ દૂર દરિયામાં જહાજમાંથી ગેસ અનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લા બે દિવસમાં આવા બે મોટા એલપીજી કેરિયર જહાજો ભારતમાં પહોંચી ચૂક્યા છે, જે મળીને કુલ 92,000 થી વધુ મેટ્રિક ટન ગેસ લાવી રહ્યા છે. આ જથ્થો દેશના લાખો ઘરેલુ ગેસ સિલિન્ડરોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો માનવામાં આવે છે. ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે અટવાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત અને ઈરાન વચ્ચે થયેલા રાજદ્વારી પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થયા છે. આ સફળતા દેશની ઊર્જા સુરક્ષા માટે સકારાત્મક સંકેત છે. 'નંદાદેવી' જહાજના આગમનથી ઘરેલુ ગેસના વિતરણમાં સુધારો થશે અને સંભવિત અછતને દૂર કરવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:20 pm

300 કરોડના ખર્ચે બનેલી નવી ESIC હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન:સુરતમાં સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે ને બદલામાં મળે છે વહીવટી તંત્રની છેતરપિંડી

સુરતના ઉદ્યોગો જેમના જોરે ધમધમે છે. તે શ્રમિકો આજે પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વલખાં મારી રહ્યા છે. સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે છે, પરંતુ બદલામાં તેમને માત્ર વહીવટી તંત્રની છેતરપિંડી મળી રહી છે. પાંડેસરા જીઆઈડીસીમાં લાંબા સમયથી ચાલતી ESIC (કામદાર રાજ્ય વીમા યોજના) હોસ્પિટલને છેલ્લા એક-દોઢ મહિનાથી તાળાં મારી દેવાતા શ્રમિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રએ ઉતાવળે સિવિલ ચાર રસ્તા પાસે આશરે 300 કરોડના ખર્ચે બનેલી નવી ESIC હોસ્પિટલમાં પાંડેસરાની હોસ્પિટલને બંધ કરી અહીંના તબીબો સહિતના 24 જેટલા કર્મચારીને ડેપ્યુટેશન પર મોકલી દીધા છે. નવી હોસ્પિટલનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થવાનું હોવાનું કારણ આપી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. દર્દીઓ હાલ આવે તો તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ESIC દવાખાનાથી રિફર દર્દીઓને સિવિલ કે નવી હોસ્પિટલનો રસ્તો બતાવાય છે. જોકે, હાલ આ નવી હોસ્પિટલ 'ધોળા હાથી સમાન સાબિત થઈ રહી છે. કારણ કે, અહીં પાંચ માળનું આલીશાન બિલ્ડિંગ તો બની ગયું છે, પણ સારવાર આપવાની કોઈ પદ્ધતિસરની વ્યવસ્થા નથી. જ્યારે દર્દીઓ સુરતમાં કાર્યરત ESICના દવાખાનાઓમાંથી રિફર થઈને આવે છે, ત્યારે તેમને સારવારને બદલે દર્દ મળી રહ્યું હોવાની ફરિયાદ છે. રિફર થઈને પાંડેસરાની હોસ્પિટલમાં જનારા દર્દીઓને સિવિલ કે નવી ESIC હોસ્પિટલનો રસ્તો બતાવી દેવાય છે. જોકે, નવી હોસ્પિટલમાં આવનારા દર્દીઓને અંતે સિવિલ જ જવા માટે કહેવાય છે. ત્યારબાદ અહીંથી વહેલી સારવારની આશાએ સિવિલ પહોંચતા શ્રમિકોને ત્યાં ફરીથી લાંબી લાઈનોમાં ઊભા રહી શુન્યથી શરૂઆત કરવી પડે છે. આમ વર્તમાન સંજોગો જોતા પ્રશાસન શ્રમિકો સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કરી રહ્યું હોવાની પ્રતીતિ થઈ રહી છે. આટલો સમય વિત્યા બાદ પણ નવી હોસ્પિટલને શરૂ થવાને લઈ અનિશ્ચિતતા છે. જેથી એડવાન્સમાં નાણાં ચૂકવ્યા છતાં યોગ્ય સારવાર ન મળતા શ્રમિકોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી નવી કામદાર વીમા હોસ્પિટલ હાલમાં નામ માત્રની હોસ્પિટલ બની રહી છે. બિલ્ડિંગ તૈયાર છે અને ડોક્ટરો માટે કેબિન તેમજ વોર્ડમાં બેડ પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ સારવાર માટે જરૂરી કહી શકાય તેવી પાયાની સુવિધાઓ હજુ સુધી ઉપલબ્ધ નથી. ખાસ કરીને ઓપરેશન થિયેટર, આધુનિક મેડિકલ સાધનો અને સંપૂર્ણ સારવાર વ્યવસ્થાનો અભાવ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરિણામે અહીં આવનાર દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાય તેવી સ્થિતિ નથી. બીજી બાજુ પાંડેસરા જીઆઈડીસીમાં ચાલતી હોસ્પિટલ બંધ કરી દેવાતા હજારો શ્રમિકોને હાલમાં નવી સિવિલ હોસ્પિટલનો જ સહારો લેવો પડી રહ્યો છે. ગત 19મી જાન્યુઆરીથી પાંડેસરા જીઆઈડીસી સ્થિત ESIC હોસ્પિટલમાંથી નવી ESIC હોસ્પિટલમાં તબીબો સહિતના 24 કર્મચારીઓને ડેપ્યુટેશન પર મોકલાયા છે. જે પૈકી 8-9 કર્મચારીઓને બે વર્ષ માટે ડેપ્યુટેશન પર રખાયા છે અને તેઓનો પગાર કેન્દ્ર સરકારમાંથી થવા માંડયો છે. જયારે બાકીના 15-16 કર્મચારીઓને ત્રણ મહિના માટે ડેપ્યુટેશન પર મુકાયા છે. પરંતુ તેઓના પગારને લઈને ભારે મૂંઝવણ છે. આ કર્મચારીઓનો ગત ફેબ્રુઆરી મહિનાનો પગાર હજી સુધી મળ્યો નહીં હોવાથી ભારે કચવાટ છે. આ કચવાટ ક્યારેય પણ લડતમાં પલટાઇ જાય તો નવાઇ નહીં રહેશે. ઉલ્લાસભાઈ માળીએ જણાવ્યું હતું કે, આ અત્યારે જે ESIS હોસ્પિટલ હતી તે ESIC હોસ્પિટલ થઈ ગઈ છે ત્યાં અમે આવ્યા છીએ. તકલીફમાં એવું છે કે આ જગ્યા પર આના પહેલા પણ હોસ્પિટલ હતી જ, પણ એ હોસ્પિટલ રિકન્સ્ટ્રક્શનમાં ગયા પછી આ જગ્યાને સીતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી. સીતા હોસ્પિટલવાળાના હોસ્પિટલના માલિક અને ESICના કંઈક મેનેજમેન્ટમાં લફડું પડ્યું એટલે એ હોસ્પિટલ કેટલાંક દિવસ બંધ રહ્યા પછી સીલ થયા પછી આ હોસ્પિટલને કામચલાઉ ધોરણે પાંડેસરામાં આવેલ D-10 દવાખાનામાં શિફ્ટ કરવામાં આવેલી હતી. ત્યાં કોઈને એડમિટ કરતા હતા નહીં. છેલ્લા બે મહિનાથી ત્યાં પણ એ બંધ કરેલું છે અને કોઈપણ પેશન્ટ અહીંયા આવે છે તો ત્યાંથી અહીંયા મોકલે છે અને અહીંથી આ લોકો સિવિલમાં મોકલે છે. એટલે અમને કોઈ જાતની સારવાર છેલ્લા ત્રણ વર્ષથી ESIC હોસ્પિટલમાં હોસ્પિટાલિટીની નથી મળતી. અમે અનેક રજૂઆત કરીએ કે હોસ્પિટલ ખૂબ જ અગત્યની વસ્તુ છે, તો કોઈપણ માનવતાના રાહે પણ તમારા જે કાંઈ મેનેજમેન્ટના પ્રોબ્લેમો હશે તો માનવતાના ધોરણે વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ કરવી એવી મારી સર્વ દર્દીઓ વતી મેનેજમેન્ટને અને સરકારને નમ્ર અપીલ છે. સુભાષ તિજારે (પ્રમુખ દર્દી સેવા સમિતિ અને શ્રમિક સેવા ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે, ESIC હોસ્પિટલમાં ઘણા વર્ષોથી શ્રમિકોના પરસેવાના પૈસા કપાતા હોય છે અને એમને બહુ હાલાકી ભોગવવી પડે છે. એમને જે સારવાર મળવી જોઈએ એ સારવાર મળતી નથી. એના માટે આ હોસ્પિટલ વહેલામાં વહેલી શરૂ થાય એના માટે દર્દી સેવા સમિતિ મેદાનમાં ઉતરી છે. જો આ વહેલામાં વહેલી શરૂ નહીં થાય તો નાછૂટકે દર્દી સેવા સમિતિને ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે, જેની જવાબદારી સરકારે લેવી પડશે. ESIC (એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) હોસ્પિટલો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ હોસ્પિટલો મુખ્યત્વે નોકરિયાત વર્ગ અને તેમના પરિવારોને મફત અથવા અત્યંત રાહત દરે તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. કોણ લાભ લઈ શકે? ESIC નો લાભ એવા કર્મચારીઓને મળે છે જેમના પગારમાંથી દર મહિને ESI ફંડ કપાય છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ: જે સંસ્થામાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય. પગાર મર્યાદા: સામાન્ય રીતે 21,000 કે તેથી ઓછો માસિક પગાર ધરાવતા કર્મચારીઓ (દિવ્યાંગો માટે 25,000). મળતી મુખ્ય સુવિધાઓ ESIC હોસ્પિટલોમાં વીમાધારક વ્યક્તિ અને તેના આશ્રિતો (માતા-પિતા, પત્ની, બાળકો) ને સેવાઓ મળે છે. તબીબી સારવાર: ઓપીડીથી લઈને જટિલ ઓપરેશન સુધીની તમામ સારવાર મફત. દવાઓ: હોસ્પિટલના મેડિકલ સ્ટોર પરથી તમામ દવાઓ વિનામૂલ્યે મળે છે. સુપર સ્પેશિયાલિટી સારવાર: જો ESIC હોસ્પિટલમાં કોઈ ચોક્કસ રોગની સારવાર ઉપલબ્ધ ન હોય, તો તેઓ ખાનગી પેનલ હોસ્પિટલમાં 'રેફર' કરે છે, જેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. માતૃત્વ લાભ: મહિલા કર્મચારીઓને પ્રસૂતિ દરમિયાન રજા અને સારવારનો લાભ મળે છે. નાણાકીય સહાય માત્ર સારવાર જ નહીં, પણ બીમારી દરમિયાન કામ પર ન જઈ શકવા બદલ ESIC રોકડ વળતર પણ આપે છે: સિકનેસ બેનિફિટ: બીમારી દરમિયાન પગારના આશરે 70% સુધીની રકમ રોકડમાં મળે છે. અપંગતા લાભ: કામ દરમિયાન અકસ્માત થાય તો આજીવન પેન્શનની સુવિધા. આશ્રિત લાભ: જો કર્મચારીનું કામ દરમિયાન મૃત્યુ થાય, તો તેના પરિવારને પેન્શન મળે છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:18 pm

કુબેરનગરમાં રાત્રે 3 વાગ્યે ટોળાનો આતંક, CCTV:બૂમો પાડી કહ્યું- 'બાબા અને આકાશને ચેટીચાંદ સુધીમાં પતાવી દઈશું', ફરિયાદીના ઘર પર પથ્થરમારો

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલા સરદારનગર અને નોબલનગર વિસ્તારમાં પોલીસમાં કોઈપણ ખૌફ વિના જાહેરમાં મારામારીના બનાવો બની રહ્યા છે. 15 દિવસ પહેલા નોબલ નગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર મારામારીની ઘટના બાદ ફરી એકવાર સરદારનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જાહેરમાં હથિયારો વડે મારામારી કરી હોવાની ઘટના બની છે. હાથમાં લાકડીઓ અને પથ્થર લઈને ઘરના ગેટને નુકસાન કર્યું હતું બાબા અને આકાશને ચેટીચાંદ સુધીમાં પતાવી દઈશું એવી ધમકી આપીને જતા રહ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જૂની માથાકૂટનો ખાર રાખી હોબાળો મચાવ્યોમળતી માહિતી મુજબ શહેરના કુબેરનગર વિસ્તારમાં જુના જી વોર્ડ ખાતે મહાકાલ મંદિર પાસે મનીષ ક્રિષ્નાની તેના પરિવાર સાથે રહે છે. રાયપુર વિસ્તારમાં સફળ માર્કેટમાં કાપડનો વેપાર ધંધો કરે છે. 15 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ મનીષભાઈ વૈષ્ણોદેવી સર્કલથી ઘરે આવતા હતા ત્યારે તેમના ભાઈ સુરતના મિત્ર હરેશ ઉર્ફે હરવું મૂલચંદાણીએ વોટ્સએપ કોલ ઉપર ફોન કરીને કહેવા લાગ્યો હતો કે, તારા ભાઈ બાબાએ અને આકાશે મારા અંકલ રાજુભાઈ સાથે કેમ મગજમારી કરી હતી હું બંનેને જ્યાં મળશે ત્યાંથી ઉઠાવી લઈશ અને પતાવી દઈશ એવી ધમકી આપી હતી. અવારનવાર કોલ કરી અને આ રીતે હેરાનગતિ કરતા ફોન બંધ કરી દીધો હતો અને ઘરે આવીને સૂઈ ગયા હતા. ફોર્ચ્યુનરમાં આવેલા આરોપીઓએ પથ્થરમારો કર્યોરાત્રે 3:00 વાગ્યાની આજુબાજુ પાડોશીએ ફોન કરી અને જાણ કરી હતી તે તમારા ઘરની બહાર કેટલાક માણસો સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી અને એક્ટિવા તેમજ બાઈક પર આવ્યા છે તેમના હાથમાં લાકડીઓ છે તમે ઘરની બહાર નીકળતા નહીં. જેથી મનીષભાઈએ તેમના ઘરના રસોડાની બારીમાંથી જોતા હરેશ ઉર્ફે હરુ અન્ય સાત જેટલા માણસો આવેલા હતા અને જોડે જોરથી ગાળા ગાળી કરતા હતા. ત્રણથી ચાર માણસોના હાથમાં લાકડીઓ હતી. લાકડીઓ વડે ગેટ ઉપર મારતા હતા અને છૂટા પથ્થરો પર ફેંક્યા હતા જેના કારણે કમ્પાઉન્ડ ગેટ અને એક્રેલિક શીટને નુકસાન થયું હતું. જોર જોરથી અવાજ થતા આસપાસના લોકો અને તેમના સગા સંબંધીઓ ભેગા થઈ ગયા હતા. હરેશએ જોર જોરથી કહ્યું હતું કે, બાબા અને આકાશને ચેટીચાંદ સુધીમાં પતાવી દઈશું. જે ધમકી આપી બધા ત્યાંથી નીકળી ગયા હતા આ બાબતે 112 માં ફોન કરી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી જે બાદ ઘરના સીસીટીવી ફૂટેજી તપાસ કરતા હરેશ ગાડી લઈને તેની સાથે સંજય ઉર્ફે બોડો ભરવાડ, સાગર ભરવાડ અને કપિલ સહિત અન્ય ત્રણથી ચાર લોકો આવ્યા હતા આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદારનગર અને નોબલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડી છે. છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં બે જેટલા બનાવ બની ગયા છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે એલસીબીથી લઈને સ્થાનિક પોલીસ નું પેટ્રોલિંગ અને પોલીસનો કોઈ ડર નથી જેના કારણે થઈને જાહેરમાં મારામારીનો બનાવ વધી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 1:00 pm

PGVCL ટીમ કબજો લેવા પહોંચી, પોરબંદરમાં હોબાળો:સ્થાનિકોના વિરોધ વચ્ચે એક મહિલાની તબિયત લથડી

પોરબંદરના વી.વી. બજાર વિસ્તારમાં PGVCL અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટના ચુકાદા બાદ મિલકતનો કબજો લેવા પહોંચેલી PGVCLની ટીમનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વી.વી. બજારમાં આવેલી એક મિલકત અંગે PGVCL લાંબા સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યું હતું. તાજેતરમાં કોર્ટે આ કેસમાં PGVCLની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કાયદાકીય આદેશના અમલ માટે PGVCLની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કબજો લેવા પહોંચી હતી. ટીમ સ્થળ પર પહોંચતા જ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકઠી થઈ ગઈ હતી અને કામગીરીનો વિરોધ શરૂ કર્યો હતો. જોતજોતામાં વાતાવરણ તંગ બન્યું હતું અને મહિલાઓએ 'હલ્લાબોલ' કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આ ઘર્ષણ અને હોબાળા વચ્ચે એક મહિલાની તબિયત અચાનક લથડી હતી અને તે બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં પણ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:45 pm

ભરૂચ પાસે દોડતી ટ્રેનમાંથી મહિલા પડી:ઉતરવાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, રેલવે પોલીસની તપાસ

ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મહિલા ઉત્તરપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:44 pm

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી:ડીએસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે ગુનાઓની સમીક્ષા કરી

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર ડીએસપી કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. આઈ.જી. નિર્લિપ્ત રાયનું એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત ડીવાયએસપી દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પરેડ દ્વારા સલામી ઝીલ્યા બાદ ડીએસપી કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી તેમજ તમામ પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા. આઈ.જી. રાયે જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને પોલીસની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ અંતર્ગત ચેસ ટુર્નામેન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:43 pm

કેશોદમાં શંકાસ્પદ ડેરી પર ચેકીંગ હાથ ધરાયું:​યુવરાજસિંહની રેડ બાદ સફાળા જાગેલા જૂનાગઢ ફૂડ વિભાગની 'ચૂપકીદી'; કેશોદમાં દરોડા છતાં અધિકારી દવેએ કહ્યું- 'ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ છે'.

જૂનાગઢનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે મહિનાઓથી ઘોર નિદ્રામાં હોય તેમ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હતું. જોકે, બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવેલી 'જનતા રેડ' બાદ તંત્રએ આળસ મરડીને કામગીરી તો શરૂ કરી છે, પરંતુ પારદર્શિતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેશોદમાં શંકાસ્પદ ડેરી પર દરોડા પાડ્યા બાદ હવે ફૂડ વિભાગના અધિકારીઓ મીડિયાને માહિતી આપતા પણ ડરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ​કેશોદમાં દરોડા છતાં અધિકારીઓની રહસ્યમય ચૂપકીદી ​આજે જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOG પોલીસની ટીમે કેશોદની 'શ્રી શક્તિ ડેરી એન્ડ સિલીંગ સેન્ટર' પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. લાંબા સમય બાદ જાગેલા ફૂડ વિભાગે નમૂના તો લીધા, પરંતુ જ્યારે આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ફૂડ વિભાગના અધિકારી દવે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. અધિકારી દવેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમને ગાંધીનગર અમારા વિભાગ તરફથી સૂચના છે કે મીડિયાને કોઈપણ પ્રકારની માહિતી આપવાની નથી. નવાઈની વાત તો એ છે કે, જે કાર્યવાહી તેમની હાજરીમાં થઈ રહી હતી તે વિશે પૂછતા તેમણે કહ્યું કે, મારે જાણવું પડશે કે ત્યાં શું ચાલી રહ્યું છે. તંત્રની આ ગુપ્તતા અને જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ​બે દિવસ પહેલાની જનતા રેડે તંત્રની પોલ ખોલી હતી ​ઉલ્લેખનીય છે કે, તંત્રની આ કામગીરી પાછળ બે દિવસ પહેલા જૂનાગઢના કાળવા ચોકમાં બનેલી ઘટના જવાબદાર છે. વહેલી સવારે પાંચ વાગ્યે યુવરાજસિંહ જાડેજાની ટીમે જાગૃત નાગરિકોની મદદથી કેમિકલયુક્ત દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી આવતું હતું અને તેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું હતું. ટીમે આરોપ લગાવ્યો હતો કે આ ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તે સમયે ફૂડ વિભાગ પાસે પ્રાથમિક ટેસ્ટિંગ કીટ પણ ન હોવાથી જનતાએ તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. ​સફેદ દૂધનો કાળો કારોબાર અને ભયાનક સત્ય ​યુવરાજસિંહની ટીમે કરેલા પર્દાફાશ મુજબ, દેડિયા ગામની સહકારી ડેરીમાં માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવી તેમાં મોટા જથ્થામાં કેમિકલયુક્ત દૂધ ઉમેરવામાં આવતું હતું. અંદાજે 350 થી 400 લિટર જેટલો આ ઝેરી જથ્થો સોરઠની ડેરીઓમાં ઠાલવવામાં આવતો હતો. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કેન્સર અને કિડનીના જે કેસો વધી રહ્યા છે તેની પાછળ આવા ભેળસેળિયા તત્વો જવાબદાર છે. ​ કેશોદની શ્રી શક્તિ ડેરીમાં તપાસ દરમિયાન જે પ્રકારનું વર્તન ફૂડ વિભાગના અધિકારી દવેએ મીડિયા સાથે કર્યું છે, તે જોતા શંકા જન્મે છે કે શું તંત્ર કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે? ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ હોવાનું બહાનું ધરીને અધિકારીઓ હકીકત લોકો સુધી પહોંચતા રોકી રહ્યા છે. જનતામાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર માત્ર દેખાવ ખાતર તપાસ કરી રહ્યું છે કે પછી ખરેખર કોઈ કડક કાર્યવાહી થશે ?

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:34 pm

રાજકોટમાં યુવકની હત્યા મામલે ત્રણ ઝડપાયા:મૃતક અને ત્રણ મહિલાઓએ હનીટ્રેપ કરી પૈસા માગતા હોવાની આરોપીએ 3 દિવસ પહેલા અરજી કરી હતી

રાજકોટ શહેરમાં 16 માર્ચે દલિત યુવકની હત્યાના બનાવ બાદ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા મામલો તંગ બન્યો હતો. રાત સુધી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને મોડી રાતે મામલો થાળે પડ્યો હતો. ભાવેશ વાણવી નામના યુવકની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સોમવારે હોસ્પિટલ ચોકમાં હોબાળો મચાવી પોલીસને ધક્કે ચડાવી ધમકી આપનારા દલિત સમાજના ત્રણ આગેવાનો સામે પણ પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ મૃતક અને ત્રણ મહિલાઓ સામે એક આરોપી દ્વારા ત્રણ દિવસ પહેલા જ રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક અને મહિલાઓએ આરોપીને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરાતી હોવાનો અરજીમાં આક્ષેપ કરાયો છે. ભાવેશ વાણવીની હત્યા મામલે ત્રણ ઝડપાયા, બેની શોધખોળરાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવેશ વાણવી નામના યુવકની થયેલ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ શહેર LCB ઝોન 2 ટીમ તપાસમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા સામે મફતિયાપરામાં રહેતા આરોપી ત્રણ સગા ભાઈઓ રવિ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરાભાઈ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.22)ની ધરપકડ કરી ફરાર બે આરોપી હમીર અને લાલો ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસની ફરજમાં રુકાવટ કરનારા દલિત સમાજના 3 આગેવાનો સામે ફરિયાદ16 માર્ચે ભાવેશ વાણવીની હત્યાના બનાવ બાદ પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. મૃતદેહને રાજકોટના હોસ્પિટલ ચોક લઈ જવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI સંજય દાફડાએ જણાવ્યું હતું કે,16 માર્ચે રાત્રિના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે દિલીપ ઉર્ફે ડી ડી સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડાએ ગેરકાયદે મંડળી રચી હતી જેને વિખેરાઈ જવા માટે પોલીસે સૂચના આપી હતી આમ છતાં તેઓ વિખેરાતા ન હોવાથી તેઓને ડિટેઇન કરવા પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે આ ત્રણેય આગેવાનો ઉપરાંત અન્ય 15થી 20 લોકોએ ફરિયાદી સંજય દાફડાને ધક્કે ચડાવી નીચે પછાડી ફરજમાં રુકાવટ કરી હતી. એટલું જ નહિ આ દરમિયાન દિલીપ ઉર્ફે ડી ડી સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હમીર દ્વારા 3 દિવસ પહેલા મૃતક સામે પોલીસ કમિશનરને અરજી કરી હતીઆરોપી હમીર જોગરાણાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને સંબોધી ત્રણ દિવસ પહેલા મૃતક ભાવેશ વાણવી અને ત્રણ મહિલાઓ વિરુધ્ધ એક લેખિત અરજી કરી હતી જેમાં ભાવેશ અને ત્રણેય મહિલાઓ તેમની સાથે હનીટ્રેપ કરી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજીમાં હમીરએ જણાવ્યું હતું કે, મારા ભાઈનો શેરડીના રસનો ચીચોંડો જલારામ ચોક ખાતે આવેલ છે ત્યાં બેઠા હતા ત્યારે એક કૃપાલી નામની મહિલા જેતપુર જવા માટે ભાડાની ગાડી શોધતા હતા ત્યારે મારી ભાડાની ગાડી બાંધી રૂ.2500માં જેતપુર જવા નક્કી કર્યું હતું. જેતપુર જતા હતા ત્યારે તેને મારી પાસે ઇન્સટાગ્રામ આઈ.ડી. માંગ્યું હતું અને બાદમાં તેણે મને મેસેજ કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ મેં કોઈ જ જવાબ આપ્યો ન હતો અને કોલ મેસેજ કરવાની ના પાડી હતી. તેમજ જેતપુર પહોચી જણાવ્યું કે બેંકમાં 10-15 મિનિટ બેસો હમણાં આવું છું. ત્યારબાદ પરત જલારામ ચોક રાજકોટ ખાતે આવી ભાડું માંગતા ભાડું હમણાં આવી ને આપુ છું કહી ચાલ્યા ગયા હતા. આ પછી ભાવેશ વાણવી તથા અજાણ્યા બે-ત્રણ લોકો બુલેટ તથા એક્સેસમાં આવી મને કહેવા લાગ્યા કે, 'તે મારી ઘરવાળીની છેડતી કરી છે' માટે ખોટી ફરિયાદ કરવા ધમકી આપી રૂ.5 લાખની માંગણી કરી હતી તેમજ છરી બતાવી મારી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને 5 લાખ નહી આપ તો જાનથી મારી નાખીશું અને મારી ઘરવાળીના કપડા ફાડી તારા પર છેડતી અને દુષ્કર્મના ખોટા કેસ કરી ફીટ કરાવી દઈસ. આ સમયે ભાવેશએ પ્રેસમાં હોવાનું જણાવી ખોટી રીતે બદનામ કરવા વિડીયો વાયરલ કર્યો હતો. કૃપાલી નામની મહિલા તથા અજાણી સ્ત્રીઓ જલારામ ચોકમાં મારા ભાઈના રસના ચિચોડે આવી અગાઉથી પ્લાન બનાવી બીજા લોકોને ઇસારા કરીને બોલાવી ખોટી ફરિયાદો કરી હતી તેમજ મારા ભાઈના ચિચોડાની RMCમાં ખોટી ફરિયાદ કરી ખોટી રીતે હેરાન કરે છે. અગાઉ પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી ત્યારે સમાધાન કરી લીધું હતું અને ત્યારબાદ પણ ફરી ધમકી ભર્યા ફોન કરી ભાડું આપવાની બદલે ખોટા કેસ કરવાની ધમકીઓ આપી ભાડું ના ચૂકવી પૈસાની માંગણી કરતા હનીટ્રેપ કરી ફસાવવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં છે. ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે 4 લાખ આપી દે તો પણ ફરિયાદ નહિ કરીએ પરંતુ મેં આવો કોઈ ગુનો કરેલ જ ન હોવાથી પૈસા આપવાની ના પાડતા મને રૂબરૂ તથા ફોનમાં ધમકીઓ આપી કહ્યું હતું કે હવે તારાથી થાય તે કરી લે, તારા પર ખોટી ખોટી ફરિયાદ કરી તારું જીવન બગડી નાખું અને તારે ફરિયાદ કરવી હોય તો કરી દેજે પોલીસ મારું કઈ નઈ બગાડી શકે,પોલીસ ને તો હું ખિસ્સામાં લઈ ને ફરું છું. માટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા મારી માંગ છે. 15 તારીખે ભાવેશનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી હતીરાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જૂની અદાવતમાં 6 શખસોએ કુહાડી અને પાઈપના ઘા મારી એક યુવકનું ઢીમ ઢાળી દીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવેશ વાણવી નામના યુવકને ડ્રીમ સિટી પાસે માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ અડધો કિમી દૂર ગ્રીન સિટી તેને ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાં પરિવાર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો તેમજ PM રૂમની બહાર દલિત સમાજે ધરણાં શરૂ કર્યા હતા.ત્યાર બાદ સમાજના આગેવાનોએ કલેક્ટરને મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરતું આવેદન પત્ર આપ્યું હતું. આ હત્યાને લઈ આક્રોશ અને આંસુ સાથે 15 કલાક સુધી વાતાવરણ તંગ બની રહ્યું હતું. તદુપરાંત દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ચોકમાં રાખીને આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. ટોળાએ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી મામલો તંગ બન્યો હતો. ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડી પરિવારને મૃતદેહ સાથે તેના વતન રવાના કર્યો હતો. મારો દીકરો સમાધાન માટે 2 લાખ રૂપિયા લઈને ગયો હતો- ગીતાબેનમૃતક ભાવેશના માતા ગીતાબેન વાણવીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું ઘરે આવી ત્યારે ભાવલાએ કહ્યું હું થોડીવારમાં આવું છું. અમને કોઈને બોલવા ન દે એવો મારો દીકરો હોશિયાર હતો. વીડિયો વાઈરલ કર્યો, એમાં એ લોકોએ વિશ્વાસઘાત કર્યો. ધમકી દઈ મારા દીકરા પાસે સમાધાન કરાવી લીધું. 2 લાખ રૂપિયા સમાધાન માટે લઈ ગયો હતો. વીડિયો કઢાવી નાખી છેતરીને મારા દીકરા પર ઘા કર્યો છે. મૃતક યુવક 15 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતોમૃતક યુવાન ભાવેશ વાણવી વિરુદ્ધ ફોન પર ધમકી આપવા, ગાળાગાળી કરવા, ખોટી રીતે પૈસા માંગવા સહિતના ગુના નોંધાઈ ચુક્યા હોવાથી રાજકોટ પોલીસ દ્વારા તેના વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ તે જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:30 pm

વિદ્યાર્થીઓને હીટવેવથી બચાવવા શિક્ષણ વિભાગ એક્શનમાં:સુરતની શાળાઓમાં લીંબુ શરબત-છાશ આપવા સૂચના, આઉટડોર એક્ટિવિટી પર પ્રતિબંધ; જાણો 5 નવી ગાઇડલાઇન

ડાયમંડ સિટી સુરતમાં ઉનાળાની શરૂઆતે જ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હાલમાં પડી રહેલી ભીષણ ગરમી અને હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શિક્ષણ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો તાત્કાલિક અમલ કરવા આદેશ અપાયો છે. આઉટડોર એક્ટિવિટી પર પ્રતિબંધગરમીના પ્રચંડ પ્રકોપ વચ્ચે વિદ્યાર્થીઓને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે સુરત શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે સ્પષ્ટતા કરી છે કે હવેથી સુરતની તમામ શાળાઓમાં મેદાન પર થતી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પીટીના પિરિયડ હોય કે અન્ય કોઈ ઇતર પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓને મેદાનમાં લઈ જઈ શકાશે નહીં. જો કોઈ રમતગમત કે એક્ટિવિટી કરવી હોય તો તે ફરજિયાતપણે ઇન્ડોર એટલે કે વર્ગખંડની અંદર જ કરવાની રહેશે જેથી હીટસ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય. લીંબુ શરબત-છાશ આપવા સૂચનાગરમીમાં પરસેવા અને અકળામણને કારણે વિદ્યાર્થીઓ બીમાર ન પડે તે માટે શાળાઓને યુનિફોર્મ બાબતે લવચીક અભિગમ અપનાવવા જણાવાયું છે. કડક ડ્રેસ કોડના બદલે વિદ્યાર્થીઓ આરામદાયક રહી શકે તેવા કપડાં પહેરે તો તેને પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, શાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી છે કે તેઓ રિસેસ કે નાસ્તાના સમયે વિદ્યાર્થીઓને લીંબુ શરબત અથવા છાશ જેવા કુદરતી પીણાં પૂરા પાડે. શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે વારંવાર પાણી પીવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. પંખા બગડેલા હશે તો સંચાલકો સામે કાર્યવાહી?વર્ગખંડની અંદરનું વાતાવરણ ઠંડુ અને અનુકૂળ રહે તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગના નિર્દેશ બાદ શિક્ષણ વિભાગે તમામ શાળાઓને કૂલિંગ સુવિધાઓ તપાસવા કડક આદેશ આપ્યા છે. દરેક વર્ગખંડમાં પંખાઓ ચાલુ હાલતમાં હોવા જોઈએ. જો કોઈ પંખો બગડેલો હોય તો તેને યુદ્ધના ધોરણે રિપેર કરાવવા અને જ્યાં જરૂર જણાય ત્યાં નવા પંખા લગાવવા જણાવાયું છે. ભણવા માટે અનુકૂળ અને હવાની અવરજવરવાળું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે. વહેલા ઘરે નહીં મોકલાય, પણ સુરક્ષા વધારાશેઘણા વાલીઓમાં એવી ચર્ચા હતી કે છેલ્લા કલાકમાં જો પ્રોક્સી પિરિયડ હોય તો વિદ્યાર્થીઓને વહેલા ઘરે જવા દેવામાં આવશે? જોકે, શિક્ષણ અધિકારીએ આ બાબતે સ્પષ્ટ નકાર ભણ્યો છે. તેમણે જણાવ્યું કે વહેલા રજા આપવાની કોઈ જોગવાઈ અત્યારે નથી, પરંતુ વિદ્યાર્થીઓને શાળામાં રાખવા પાછળનો હેતુ એ છે કે તેઓ બપોરના આકરા તડકામાં રસ્તા પર ન ફરે. શાળાના સુરક્ષિત અને છાંયડાવાળા વાતાવરણમાં રહીને તેઓ ઇન્ડોર એક્ટિવિટી દ્વારા પોતાનો સમય પસાર કરે તે હિતાવહ છે. દરેક શાળામાં 'નોડલ ઓફિસર' ની નિમણૂક ફરજિયાતજો કોઈ વિદ્યાર્થીને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે હીટસ્ટ્રોકના લક્ષણો દેખાય, તો તેના તાત્કાલિક નિવારણ માટે દરેક શાળામાં એક 'નોડલ ઓફિસર' ની નિમણૂક કરવામાં આવી છે. આ ઓફિસરનું કામ બીમાર વિદ્યાર્થીને તુરંત પ્રથમ સારવાર આપવાનું અને ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવાનું રહેશે. શાળા પ્રશાસને બીમાર વિદ્યાર્થીના વાલીઓને તુરંત જાણ કરવાની રહેશે અને સ્થિતિ ગંભીર હોય તો 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવાની રહેશે. બાળકને શાળાએ મોકલે ત્યારે પાણીની બોટલ અચૂક આપેDEO ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સતત એકબીજાના સંપર્કમાં છે. હીટવેવની સ્થિતિ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે બાળકને શાળાએ મોકલે ત્યારે સાથે પાણીની બોટલ અચુક આપે અને ઘરેથી નીકળતી વખતે બાળક પૂરતા પ્રમાણમાં પ્રવાહી લઈને નીકળે તેનું ધ્યાન રાખે. આકરા ઉનાળામાં બાળકોની સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય છે. ગરમીના કહેર વચ્ચે સુરત શિક્ષણ વિભાગની 5 મોટી ગાઇડલાઇન મેદાન બંધ: તમામ આઉટડોર રમતો અને એક્ટિવિટી પર પ્રતિબંધ.કૂલિંગ મસ્ટ: વર્ગખંડમાં પંખાઓ ચાલુ હોવા જોઈએ, બગડેલા પંખા તાત્કાલિક રિપેર કરવા.પીણાંની વ્યવસ્થા: શાળાઓમાં છાશ અને લીંબુ શરબત પીવડાવવા પ્રોત્સાહન.ઇમરજન્સી પ્રોટોકોલ: બીમારીના કિસ્સામાં 108 અને PHC સાથે જોડાણ.નોડલ ઓફિસર: દરેક શાળામાં એક જવાબદાર વ્યક્તિની નિમણૂક.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:27 pm

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો

Una Dalit Flogging Case: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17મી માર્ચે) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ પૈકી 5 ને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન 2 આરોપીઓના મોત નીપજ્યા હતા. એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યાએ આજે (17મી માર્ચ) પાંચેય દોષિતોને સજા સંભળાવી હતી.

ગુજરાત સમાચાર 17 Mar 2026 12:14 pm

જામનગર હાઈવે પરથી બિયર ભરેલી બિનવારસી કાર ઝડપાઇ:પેટ્રોલ પંપ નજીક રેઢી પડેલી કારમાંથી 744 ટીન બિયર મળ્યા

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર એલસીબી (LCB) ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર એક મોટી સફળતા મેળવી છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પોલીસે બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી બિયરના ટીનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ હાઈવે પર એક પેટ્રોલ પંપના પાર્કિંગમાં પડેલી કારમાં નશાનો સામાન છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી 744 નંગ બિયરના ટીન (કિંમત: ₹3.40 લાખ) અને સિલ્વર કલરની હુંડાઈ વર્ના કાર (નંબર: GJ 07 KR 5988) મળી આવી હતી. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે કાર પાસે કોઈ હાજર નહોતું, એટલે કે કાર 'રેઢી' મૂકવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા વાહનના રજિસ્ટ્રેશન નંબર અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે નીચેની દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 12:07 pm

હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા

Pakistan Air Force Strike on Kabul Rehab Hospital: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ડ્રગ રિહેબિલિટેશન(નશામુક્તિ) કેન્દ્ર પર પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ અને સુહૈલ શાહીને આક્ષેપ કર્યો છે કે આ હુમલામાં 400થી વધુ દર્દીઓના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા છે. તાલિબાનના મતે, પાકિસ્તાને કોઈ પણ પુરાવા વગર આતંકવાદીઓને નિશાન બનાવવાના નામે માનવતા વિરુદ્ધનો અપરાધ કર્યો છે અને હોસ્પિટલના મોટા હિસ્સાને તબાહ કરી દીધો છે. કાબુલના પોલીસ ડિસ્ટ્રિક્ટ 9માં થયેલા આ હુમલાને પગલે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે. તાલિબાનની પાકિસ્તાનને ચેતવણી

ગુજરાત સમાચાર 17 Mar 2026 12:01 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:દાંતીવાડાના ઉત્તમપુરામાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

બનાસકાંઠા જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રવાસના બીજા દિવસે સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા-ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઈશ્વર ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલએ ફાર્મમાં આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂત ઈશ્વર ભૂતડિયા પાસેથી પાકોના મૂલ્યવર્ધન અને વેચાણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે આધુનિક મિશ્ર પાક પદ્ધતિ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ઈશ્વર ભૂતડિયા દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈને રાજ્યપાલએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરમાં રાજ્યપાલએ ખાટલા પર બેસીને ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન, ફાર્મના માલિક ઈશ્વર ભૂતડિયાએ રાજ્યપાલનું સ્વાગત કરતા જણાવ્યું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલના આગમનથી તેમની મહેનત સાર્થક થઈ છે અને દરેકે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઈશ્વર ભૂતડિયા છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં બહુસ્તરીય ખેતી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં કેળા, પપૈયા, આંબા અને જામફળ જેવા ફળોના વાવેતરની સાથે આંતરપાક તરીકે ગલગોટાનું પણ વાવેતર થાય છે. આ મોડેલ ફાર્મનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને આંબા જેવી લાંબા ગાળાની ખેતીમાં આવક માટે લાંબો સમય રાહ ન જોવી પડે. આ પદ્ધતિમાં ગલગોટા અને પપૈયા જેવા ટૂંકા ગાળાના પાકોથી બે-ત્રણ મહિનામાં જ આવક શરૂ થઈ જાય છે. ત્યારબાદ જામફળ અને છેલ્લે આંબાની આવક આજીવન મળતી રહે છે. ખેડૂત ઈશ્વરના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેમનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે અને ખેતી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, દેશની ધરતી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે સેવાભાવથી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમના ખેતરની માટી સોનુ બની ચુકી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્રપાક વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું. રાજ્યપાલએ રાજ્યના વિવિધ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની સક્સેસ સ્ટોરી જણાવી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ વળવાની જરૂર છે. જેટલા વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલા વધુ પ્રકૃતિની નજીક આવશે. આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી. દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે. પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે અને દેશ સ્વસ્થ બનશે. રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, આ પરોપકારી સ્વદેશી ખેતીથી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે અને વિકસિત ભારત 2047 નું સપનું સાકાર થશે. રાજ્યપાલએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:56 am

ગુજરાતમાં ગરમી બાદ હવે કમોસમી વરસાદનો કહેર:વાતાવરણમાં પલટા સાથે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી; ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, ખેડૂતો ચિંતામાં

છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે હવે હવામાનમાં પલટો આવતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હજુ પણ બેથી ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે હવામાન વિભાગ દ્વારા 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. જેથી ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતારાજ્યમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ સુધી હિટવેવની કોઈપણ પ્રકારની શક્યતા નથી. 18, 19 અને 20 માર્ચે અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદમાર્ચ મહિનામાં જ કમોસમી વરસાદની આગાહીને પગલે 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે: હવામાન ડાયરેક્ટરહવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે. જે બાદ કાલથી 3 દિવસ એટલે કે, 18, 19 અને 20 માર્ચના કમોસમી વરસાદ થશે. 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. 18 માર્ચના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ પડશે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં વરસાદ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:55 am

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

Gujarat Uniform Civil Code: ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. UCCના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ આજે (17મી માર્ચ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતા હવે કાયદો બનવાની પ્રક્રિયા તેજ બની છે. એક વર્ષના ગહન અભ્યાસ બાદ રિપોર્ટ તૈયાર રાજ્ય સરકાર દ્વારા આ કમિટીની રચના ચોથી ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 17 Mar 2026 11:41 am

અમરેલીમાં મધરાતે ધરા ધણધણી:2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગત મોડી રાત્રે ખાંભા ગીર પંથકમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 12:17 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજતા લોકો જાગી ઉઠ્યા હતા. ખાસ કરીને ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, ઇંગોરાળા અને ભાડ સહિતના ગામોમાં આ આંચકો અનુભવાયો હતો. 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ' (ISR) દ્વારા આ આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.0 મેગ્નિટ્યુડની જોવા મળી હતી અને આ ભૂકંપની ઉંડાઈ જમીનથી આશરે 5.9 કિ.મી. નીચે જોવા મળી હતી, જે સપાટીની નજીક ગણાય છે. આ ભૂકંપનું કેન્દ્રબીંદુ અમરેલીથી અંદાજે 44 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં, ખાસ કરીને ખાંભા ગીરના જંગલ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવવાનો સિલસિલો યથાવત્ છે. અગાઉ પણ અનેકવાર આ જ પંથકમાં આંચકા નોંધાઈ ચૂક્યા છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં સતત અજંપો અને ચિંતા જોવા મળી રહી છે. ભૂગોળશાસત્રીઓના મતે 2.0ની તીવ્રતાના આંચકા સામાન્ય રીતે નુકસાનકારક હોતા નથી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:32 am

મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર

(IMAGE - IANS) Gold and Silver Price forecast before US Fed Meeting: અમેરિકન ફેડરલ રિઝર્વની મહત્ત્વની બેઠક પૂર્વે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં 1.

ગુજરાત સમાચાર 17 Mar 2026 11:32 am

કરોડોના ખર્ચે બનેલા ખેલ સંકુલની બદહાલી:પાંચોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગંદકી અને પાણીનો વેડફાટ; કોંગ્રેસે અગ્રણીએ CMને રજૂઆત કરી

ઉત્તર ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મહેસાણાના પાંચોટ ખાતે સરકાર દ્વારા અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ સંકુલ યોગ્ય જાળવણીના અભાવે બદહાલીનો શિકાર બન્યું છે. કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા આ ગંભીર મુદ્દે સરકાર અને સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સંકુલમાં પાણીના નળ ગાયબ હોવાથી 24 કલાક પાણીનો વેડફાટ પાંચોટ સ્પોર્ટ્સ સંકુલની વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપતા ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે, રમતગમતના મેદાનની બાજુમાં આવેલા શૌચાલયો લાંબા સમયથી સાફ કરવામાં આવ્યા નથી. જેના કારણે ત્યાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. એટલું જ નહીં સંકુલમાં પાણીના નળ ગાયબ હોવાથી 24 કલાક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. જે ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ગંભીર બેદરકારી મામલે ગુજરાત રાજ્યના રમત-ગમત મંત્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માગ કરવામાં આવી છે. અનેક જગ્યાએ લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીના ઢગબીજી તરફ મહેસાણા શહેરની શાન ગણાતા બિલાડી બાગ પાસે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત 'અટલ સ્વિમિંગ પૂલ'ની હાલત પણ કંઈક આવી જ છે. સ્વિમિંગ પૂલના પાર્કિંગ એરિયા સહિતના અન્ય ભાગોમાં લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. સ્વિમિંગ પૂલ જેવા સંવેદનશીલ જાહેર સ્થળે સ્વચ્છતાના અભાવને પગલે નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા રમતગમત પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્રની આળસ અને દેખરેખના અભાવે આ સરકારી મિલકતો ખંડેર જેવી બની રહી છે. ત્યારે તંત્ર જાગે અને ખેલાડીઓને યોગ્ય સુવિધા મળે તેવી માગ પ્રબળ બની છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:29 am

ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને પણ ઊભી પૂંછડીએ ભગાડી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઝીલીયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત 15 માર્ચ, 2026 ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યે જ્યારે ફરિયાદી મહેસાણા હતા, ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી. માણસે જણાવ્યું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ 112 પોલીસ વાનને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસની હાજરી છતાં હુમલાખોરો તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દીવાલ પરની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, આશરે 8 જેટલી ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા. આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. CCTV ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:21 am

નવસારીમાં વીજ થાંભલામાં કરંટથી 16 વર્ષની કિશોરીનું મોત:કૃષિ યુનિવર્સિટી પાસે ઘટના, પિતાએ જીઈબીની બેદરકારી સામે ન્યાય માંગ્યો

નવસારીના કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીને કારણે એક દુર્ઘટના બની છે. સરગમ એપાર્ટમેન્ટ પાસે વીજ થાંભલામાં કરંટ ઉતરતા ૧૬ વર્ષની આયુષી નાયકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સ્થાનિકો દ્વારા અગાઉ કરાયેલી રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન ન આપ્યાનો આક્ષેપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીપકભાઈ નાયકાની ૧૬ વર્ષની પુત્રી આયુષી રાત્રિના સમયે નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી. સરગમ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી વખતે રસ્તામાં આવેલા વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતર્યો હતો, જેના સંપર્કમાં આવતા આયુષી ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આયુષીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેનું અવસાન થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ ઘટના બાદ આયુષીના પિતા દીપકભાઈ નાયકાએ વીજ કંપની (GEB) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, જીઈબીની બેદરકારીને કારણે મારી દીકરીનું મોત થયું છે. વાયર તૂટી જવાની સમસ્યા અંગે સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. મારી દીકરીને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઉતાવળે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું. મારે માત્ર ન્યાય જોઈએ છે. સ્થાનિકોમાં પણ વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અગાઉની ફરિયાદો પર ધ્યાન અપાયું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:21 am

જામનગર દરબારગઢમાં વન-વેની કડક અમલવારી શરૂ:ટ્રાફિક હળવો બન્યો, નિયમ ભંગ કરનારા દંડાયા

જામનગરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિટી-એ ડિવિઝન પોલીસે વન-વે નિયમની કડક અમલવારી શરૂ કરી છે. લાંબી બેરીકેટ મૂકીને આ નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળી છે. નિયમનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. દરબારગઢ, બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી વન-વે નિયમનો અમલ થતો ન હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. ખાસ કરીને રમઝાન માસ અને ચેતી ચાંદ જેવા તહેવારોના કારણે આ સમસ્યા વધુ વકરી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વસંતલાલ ગામેતી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાંદી બજાર સર્કલ તરફના રસ્તા તેમજ બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટમાં લાંબી બેરીકેટ ગોઠવીને વન-વેની કડક અમલવારી કરાવી હતી. આ પગલાંને કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી છે. સિટી-એ ડિવિઝન પોલીસે હવે આ બેરીકેટ રાખીને વન-વેની અમલવારી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વન-વે નિયમનો ભંગ કરનારા અનેક વાહનચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી. દંડ વસૂલવામાં આવતા, તમામ વાહનચાલકોએ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:19 am

વલસાડ LCBએ સલવાવ હાઇવે પરથી દારૂ ઝડપ્યો:₹19.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટેમ્પો પકડાયો

વલસાડ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે વાપી હાઇવે પરથી થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે કાર્યવાહી કરી છે. ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા સલવાવ નેશનલ હાઇવે નંબર 48 પરથી પોલીસે એક આઇશર ટેમ્પોમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹19.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. LCBની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર એક બંધ બોડીના ટેમ્પોમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સલવાવ નેશનલ હાઇવે નંબર 48 પર એમ ક્યુબ-02 બિલ્ડીંગ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન GJ-15-AX-3066 નંબરનો આઇશર ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને આંતરવામાં આવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ગુપ્ત ખાનાઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 215 નંગ દારૂ/બિયરના બોક્સ, જેમાં કુલ 7080 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો, જેની કિંમત ₹12,10,320/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹7,00,000/- ની કિંમતનો આઇશર ટેમ્પો અને ₹5,000/- નો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹19,15,320/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ટેમ્પો ચાલક દક્ષેશ ઉર્ફે ટપુ વિષ્ણુભાઇ મિતના (રહે. ઉમરગામ) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના જતીન નામના શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે જતીનને વોન્ટેડ જાહેર કરી તેના પૂરા નામ-સરનામા મેળવવાની અને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:19 am

સાબરકાંઠામાં જિલ્લા પંચાયત સહિત 11 સંસ્થાઓમાં વહીવટદાર શાસન:મુદત પૂર્ણ થતા કલેક્ટર સહિત અધિકારીઓની નિમણૂક

સાબરકાંઠા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. આ સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં વહીવટી સુકાન સંભાળવા માટે અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકામાં પણ વહીવટદાર શાસન લાગુ પડ્યું છે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પેટાચૂંટણી યોજાશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. હિંમતનગર તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકા માટે હિંમતનગર પ્રાંત અધિકારીની નિમણૂક થઈ છે. તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પ્રાંતિજ પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીને વહીવટદાર બનાવાયા છે. ઇડર અને વડાલી તાલુકા પંચાયત માટે ઇડર પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે. ઇડર નગરપાલિકામાં ઇડર મામલતદાર અને વડાલી નગરપાલિકામાં વડાલી મામલતદાર વહીવટદાર તરીકે સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:17 am

ગીર સોમનાથમાં PGVCLની મેગા ડ્રાઇવ:બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ, 94 ટીમો મેદાનમાં ઉતરી; 2086 વીજ જોડાણ કપાયા

ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, જેના કારણે જિલ્લામાં હડકંપ મચી ગયો છે. વેરાવળ વિભાગીય કચેરી હેઠળના કુલ 7 સબ-ડિવિઝનમાં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે 94 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં ચકાસણી શરૂ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન કુલ 2086 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માત્ર ચેતવણી પૂરતી નહોતી, પરંતુ કડક અમલવારી સાથે કરવામાં આવી હતી. PGVCL દ્વારા અગાઉ અનેક વખત નોટિસ, SMS અને જાહેર સૂચનાઓ આપ્યા છતાં પણ બાકી રકમ ન ભરનારાઓને હવે સીધી અસર થઈ છે. આ ડ્રાઇવ દરમિયાન અંદાજે ₹143.38 લાખ જેટલી બાકી રકમ સામે કાર્યવાહી નોંધાઈ છે. આ પગલાંને કારણે ગ્રાહકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો તાત્કાલિક બિલ ચૂકવવા માટે કચેરીઓનો સંપર્ક કરતા પણ જોવા મળ્યા હતા. બીજી તરફ, નિયમિત બિલ ચૂકવનાર ગ્રાહકોમાં આ કાર્યવાહી પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી છે. PGVCL ના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, 'બાકીદારો સામે આ અભિયાન સતત ચાલુ રહેશે. ગ્રાહકો સમયસર બિલ ભરે તે જરૂરી છે, નહીં તો આવી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.' તેમણે ઉમેર્યું કે, વીજ ચોરી અને બાકીદારી બંને સામે વિભાગ સખત વલણ અપનાવી રહ્યો છે. આ મેગા ડ્રાઇવ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે બાકી વીજ બિલ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં નહીં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:15 am

ગોધરામાં ઇદની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ:રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર, વેપારીઓમાં ઉત્સાહ

પંચમહાલના મુખ્ય મથક ગોધરા શહેરમાં ઇદ-ઉલ-ફિત્ર તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઇદને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગોધરા શહેરના રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની અવરજવર વધી છે. ખાસ કરીને કપડાં, ચપ્પલ અને ઘરવખરીની ચીજવસ્તુઓની ખરીદી માટે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. પરિવાર સાથે લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. બજારોમાં ગ્રાહકોની વધતી ભીડને કારણે વેપારીઓમાં પણ સારો વેપાર થવાનો આશાવાદ છે. મોડી રાત સુધી બજારો ખુલ્લા રહી ગ્રાહકોને સેવા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:05 am

મોડાસાથી પ્રેરણાપીઠ પગપાળા સંઘનું પ્રસ્થાન:552મા સંઘ મેળા માટે ભાવિક ભક્તો જોડાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા વિભાગ દ્વારા પ્રેરણાપીઠ ખાતે યોજાનારા 552મા સંઘ મેળા માટે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે. આ પરંપરાગત યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને શ્રી કલ્કિ નારાયણ મહાપ્રભુજીની કૃપા તથા સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની પ્રેરણાથી આ 552મો અમૃત મહોત્સવ સંઘમેળો હિંદુ નવા વર્ષ ચૈત્ર સુદ બીજ, એટલે કે 19-20 માર્ચ 2026ના શુભ દિને પ્રેરણાપીઠમાં ભવ્ય રીતે આયોજિત થવા જઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લી-મોડાસા વિભાગમાંથી પગપાળા સંઘ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે આગળ વધી રહ્યો છે. પદયાત્રીઓ ભજનના તાલ સાથે ભક્તિભાવપૂર્વક યાત્રા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:04 am

ભરૂચના ડૉ. વાડોદરીયા 'બેસ્ટ રિસર્ચર એવોર્ડ'થી સન્માનિત:કપાસ સંશોધનમાં 35 વર્ષના યોગદાન બદલ રાજ્યપાલે સન્માનિત કર્યા

ભરૂચના મકતમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. વી. વાડોદરીયાને 'બેસ્ટ રિસર્ચર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને નવસારી કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ સન્માન અપાયું હતું. ડૉ. વાડોદરીયા કપાસ સંશોધન ક્ષેત્રે આશરે 35 વર્ષથી કાર્યરત છે. તેમણે કપાસની 12 નવી જાતો વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશી કપાસની પાંચ નવી જાતો પણ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે કૃષિ અને સંશોધન સંબંધિત વિષયો પર 20 સંશોધન લેખો અને ત્રણ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે તેમણે 11 નવી ટેક્નોલોજી પણ વિકસાવી છે, જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. કપાસ સંશોધન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને અગાઉ પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 'પ્રો. જે.પી. ત્રિવેદી એવોર્ડ' અને 'બેસ્ટ ઈન્ડિવિજ્યુઅલ લીડરશિપ કપ'નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:02 am

વાપી GIDCમાં 24.79 લાખનો દારૂ ઝડપાયો:એકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર; તહેવારો પહેલાં પોલીસની કાર્યવાહી

વલસાડ જિલ્લા પોલીસે વાપી GIDC વિસ્તારમાંથી ₹24.79 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે. આગામી તહેવારો જેવા કે રમઝાન ઇદ, રામ નવમી, ચેટી ચાંદ અને ગુડી પડવાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ વાપી GIDC પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, 16 માર્ચની સાંજે મુંબઈ તરફ જતા સર્વિસ રોડ પર હોટલ સર્વોત્તમ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન MH-48-AY-1832 નંબરના એક આઇસર ટેમ્પોને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. ટેમ્પોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 9192 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹16,69,440 છે. આ ઉપરાંત, ₹8,00,000નો આઇસર ટેમ્પો અને ₹10,000નો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે, આમ કુલ ₹24,79,440નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક વિશાલ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધોડી (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દમણના ઝાકીરભાઈ નામના શખ્સે આ દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઝાકીરભાઈ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન વલસાડ LCBના પી.આઈ. જે.જી. વસાવા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:02 am

'શિવાલિક' બાદ 'નંદા દેવી' જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત

LPG Tanker Nanda Devi Reaches Gujarat Coast: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. 'શિવાલિક' બાદ જામનગરના વાડીનાર પોર્ટ નજીક વિશાળ LPG ટેન્કર 'નંદા દેવી' આવી પહોંચ્યું છે, ત્યાથી કંડલા બંદર સુધી પહોંચે. આ જહાજના આગમન સાથે જ રાજ્યમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં મોટી રાહત થવાની શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાત સમાચાર 17 Mar 2026 11:01 am

જામનગરમાં બ્રાસપાર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:બે તસ્કરો ઝડપાયા, પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે

જામનગરમાં ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી રૂ. ૧૧.૭૦ લાખના માલસામાનની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સિટી સી-ડિવિઝન પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ તેમજ બે મોટરસાયકલ કબજે કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ ચોરી આજથી ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલની વાડી સામે આવેલી શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી થઈ હતી. તસ્કરો રૂ. ૧૧,૭૦,૦૦૦ની કિંમતનો આશરે ૭,૮૦૦ કિલો પિત્તળનો છોલ ચોરી ગયા હતા, જે અંગે સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે સિટી સી-ડિવિઝનના પી.આઈ. એન.બી. ડાભી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા અને ઘટનાસ્થળ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા. ઉપરાંત, મોબાઈલ ફોનના ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સનું વિશ્લેષણ કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસને મળેલી સંયુક્ત બાતમીના આધારે વિજયનગરમાં રહેતા મોહન ઉર્ફે ભોલો વિરમભાઈ ઓડિચ (ઉં.વ. ૩૬) અને ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ (ઉં.વ. ૩૬)ની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો ચોરાઉ માલસામાન અને બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન આ ગુનામાં ત્રીજા સાગરીત લક્ષ્મણ હીરાભાઈ ઓડિચની સંડોવણી ખુલી હતી. પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 11:01 am

રાજકોટ મ્યુ. કમિશનરનો મહત્વનો નિર્ણય:મહાપાલિકામાં શાસકોની ટર્મ પૂર્ણ થતા કરારો પર સહી કરવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે ત્રણ ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ

રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાની સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોના રાજ્યમાન્ય કરારો (એગ્રીમેન્ટ) પર સહી કરવાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે વહીવટી અધિકારીઓને સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે સત્તાવાર આદેશ જારી કરીને નવી ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા ગોઠવી છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા અમલી બનાવવામાં આવતા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ સાથેના કરારો માટે એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત સ્ટેમ્પ પેપર પર એજન્સીઓ પાસેથી રાજ્યમાન્ય કરારો કરવામાં આવતા હોય છે. જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કરારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્રા (સીલ) મારવી અનિવાર્ય છે. આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે સ્થાયી સમિતિના બે સભ્યોએ સાક્ષી તરીકે સહી કરવી પડે છે, જે આ કરારની કાયદેસરતાની પુષ્ટિ કરે છે. જોકે, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી અને જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીમાં શહેરના વિકાસકામો કે રોજિંદા વહીવટી કરારો અટકી ન પડે તે હેતુથી કમિશનર તુષાર સુમેરાએ કલમ હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ આદેશ મુજબ, હવેથી કરારનામા પર સહી કરવા માટે ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર, હવેથી સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર, સહાયક કમિશનર અને ચીફ એકાઉન્ટન્ટને આ સત્તા સુપરત કરવામાં આવી છે. આ ત્રણ અધિકારીઓમાંથી કોઈપણ બે અધિકારીઓ હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના સ્થાને રાજ્યમાન્ય કરારો અને અન્ય કાનૂની દસ્તાવેજો પર સહી કરી શકશે. આ વ્યવસ્થા નવી ચૂંટાયેલી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી મનપાના પેન્ડિંગ રહેલા કરારો અને નવા પ્રોજેક્ટ્સની મંજૂરીની પ્રક્રિયામાં ગતિ આવશે. અગાઉ સભ્યોની ગેરહાજરીને કારણે કાનૂની ગૂંચ ઉભી થવાની શક્યતા હતી, પરંતુ હવે વહીવટી સ્તરે જ આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવતા કામગીરી સરળ બનશે. અધિકારીઓને આ જવાબદારી સોંપાતા હવે કોન્ટ્રાક્ટરો સાથેના એગ્રીમેન્ટ અને અન્ય સરકારી દસ્તાવેજોની કામગીરીમાં વિલંબ થશે નહીં.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:53 am

વાપીમાં 27 લાખની ચોરીનો મામલો:આરોપી અજય સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી

વાપી GIDC પોલીસ મથકે નોંધાયેલા ૨૭ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી અજય કાંતિલાલ સોલંકીની જામીન અરજી વાપીના એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપીને જેલહવાલે રાખવાનો હુકમ કર્યો છે. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી પરિવાર ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મહારાષ્ટ્ર ખાતે પોતાના વતન ગયો હતો. આ સમયે ઘરના ધાબા પરની જાળીનો દરવાજો લોક કરવાનું રહી ગયું હતું. તસ્કરોએ આનો લાભ ઉઠાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કોમ્પ્યુટર ટેબલના ડ્રોઅરમાંથી કબાટની ચાવી શોધી કાઢી હતી. ત્યારબાદ તિજોરી ખોલી અંદર રહેલા અંદાજે ૨૪.૫ તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ ચાવી અને દરવાજો યથાવત કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી મત્તામાં કુલ ૨૬,૯૫,૦૦૦/- રૂપિયાના કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે. જેમાં બે મંગળસૂત્ર (૬ તોલા, રૂ. ૬.૬૦ લાખ), નેકલેસ અને હાર (૬ તોલા, રૂ. ૬.૬૦ લાખ), સોનાના પાટલા (૫ તોલા, રૂ. ૫.૫૦ લાખ), બુટ્ટી, રીંગ અને ચેઈન (અંદાજે ૫.૫ તોલા, રૂ. ૬.૧૪ લાખ) તેમજ અંગુઠી, કડુ અને સિક્કા (અંદાજે ૩ તોલા, રૂ. ૨.૧૧ લાખ)નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી અજય કાંતિલાલ સોલંકીની ધરપકડ બાદ તેણે નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ હાજર રહી જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ગુનાની ગંભીરતા અને ચોરી થયેલી મત્તા મોટી હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલએ આ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:50 am

24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા:બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે મળશે, કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી

વિધાનસભામાં આજે(17 માર્ચ)ચૂંટણી પંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઇન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે ચૂંટણી ખર્ચની ચર્ચા ગૃહમાં કેમ ન થઈ શકે અને આ ચર્ચામાં શું છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે નોંધાવ્યું કે ગત 8 માર્ચની પૂરક માંગણીમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો, છતાં ચર્ચા અટકાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે સરકારના વિભાગોમાં ખામીઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને કાપ દરખાસ્તો રદ કરવા પાછળના કારણો પૂછ્યા. ‘બંધારણીય રીતે ચૂંટણી પંચની ટીકા ગૃહમાં કરી શકાતી નથી’આ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને બંધારણીય રીતે તેની ટીકા ગૃહમાં કરી શકાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચની ટીકા રૂપે કાપ દરખાસ્તો મૂકવામાં આવે છે, તેથી આ પ્રકારની ચર્ચા યોગ્ય નથી. ‘અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે’લાંબી દલીલો બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય આપતા જણાવ્યું કે અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે હાઇકોર્ટ અને ચૂંટણી પંચ સ્વાયત સંસ્થાઓ છે અને ગૃહમાં તેમની ચર્ચા થઈ શકતી નથી, કારણ કે આ સંસ્થાઓ ગૃહમાં ઉપસ્થિત નથી. ગોપાલ ઇટાલિયાના પોઇન્ટ ઓફ ઓર્ડર પર તેમણે સ્પષ્ટ કર્યું કે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી અને અધ્યક્ષના નિર્ણય બાદ આ મુદ્દે વધુ ચર્ચા શક્ય નથી. 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતાબીજી તરફ, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં સરકારી બિલ અંગે ચર્ચા થવાની છે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:23 am

હવે દૂધ પણ સુરક્ષિત નથી!:સુરતના કાપોદ્રામાં ડેરી બહારથી દૂધની બોટલોની ચોરી, સગીર ચોરી કરીને થતો રફુચક્કર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત શહેરમાં તસ્કરો હવે નાની-મોટી ચીજવસ્તુઓને પણ છોડી રહ્યા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અજીબ કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં પરંતુ રોજિંદા વપરાશના દૂધની ચોરી થઈ રહી છે. એ પણ એક સગીર દ્વારા આ ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડર પણ ચોરી થયો હતો. શું છે સમગ્ર ઘટના? કાપોદ્રા વિસ્તારમાં આવેલી માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. દરરોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા, ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી. અજાણ્યો સગીર વયનો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈ શાંતિથી આવતો અને દૂધના ભરેલા કેરેટમાંથી નજર ચુકવીને બોટલો ચોરી જતો હતો. ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી લગાવ્યા દુકાનદારના જણાવ્યા અનુસાર, દરરોજ અંદાજે 5 થી 10 જેટલી દૂધની બોટલોની ચોરી થતી હતી. સતત થતા આ આર્થિક નુકસાનથી કંટાળીને આખરે દુકાનદારે તપાસ કરવાનું નક્કી કર્યું. ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ વ્યૂહરચના સફળ રહી અને રાત્રિના ફૂટેજ તપાસતા ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં કેદ થયો ‘દૂધચોર’ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, એક અજાણ્યો સગીર ડેરી પાસે આવે છે. આજુબાજુ નજર ફેરવી કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરે છે. ત્યારબાદ સિફતપૂર્વક દૂધના કેરેટમાંથી બોટલો કાઢીને રફુચક્કર થઈ જાય છે. વારંવાર થતી આ ચોરી અને સીસીટીવી પુરાવા મળ્યા બાદ, દુકાનદારે હવે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. પોલીસ કાર્યવાહીની તજવીજ દુકાનદાર દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર સગીરની ઓળખ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે તેવું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:20 am

વડોદરામાં મહિલાએ ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાધો:મંદિર પાસે ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો, પરિવારનું રોડ પર હૈયાફાટ રુદન

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા વિજયનગર માઈ દેવીપૂજક મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નિધિ ફ્લેટ પાછળ રહેતા ધનસાબેન હસમુખભાઈ ચુનારા નામની પરિણીતાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરિણીતાના આ આકસ્મિક પગલાથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું છે, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:17 am

'GPSC જિદ્દી અને અહંકારી':'ઉમેદવારો NCERT-GCERTના પુસ્તકો ઉપર આધાર રાખશે કે સદીઓ પહેલાંના મૂળ પુસ્તક ઉપર', હાઇકોર્ટે GPSCને સાણસામાં લીધી

ગુજરાત હાઇકોર્ટે GPSCને એક સવાલના જવાબને લઈ બરાબરની ખખડાવી કહ્યું હતું કે, 'GPSC જિદ્દી અને અહંકારી છે. ગયા અઠવાડિયે હાઈકોર્ટે ગુજરાત જાહેર સેવા આયોગ GPSCને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915માં પ્રકાશિત થયેલ પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી ઉગ્ર દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. એક માર્ક માટે રહી ગયેલી ઉમેદવારે આન્સર કી હાઇકોર્ટમાં પડકારીએક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSCની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયોઆપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. A:માત્ર એક, B:માત્ર બે, C:એક અને બે બંને અને D:ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો. ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતોહાઈકોર્ટે GPSCને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે આ મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો. ખાસ કરીને જ્યારે GPSCનો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે. ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યોસોમવારે GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSCએ જણાવ્યું કે તે PDFના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSCની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. જે લખાણનો ઉપયોગ કર્યો તેની વિશ્વસનીયતા પર કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યાકોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSCએ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ફિઝિકલ કોપી ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે. કોર્ટે વધુમાં પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો સદીઓ જૂના પુસ્તકોનો સંદર્ભ લેશે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? કોર્ટે GPSC પાસે 20 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો કે શું અર્થશાસ્ત્ર જાહેર જનતા માટે વ્યાપકપણે ઉપલબ્ધ છે અને જો હાર્ડ કોપી અસ્તિત્વમાં હોય તો પ્રશ્ન પસંદ કરવા માટે કઈ ચોક્કસ આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 10:13 am

ચકચારી ઉના કાંડમાં આજે કોર્ટ સંભળાવશે સજા:દોષિત 5 આરોપી પર વેરાવળ કોર્ટનો કડક વલણ શક્ય

ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડમાં આજે મહત્વપૂર્ણ તબક્કો છે. વેરાવળ અદાલતે ગઈકાલે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે મંગળવારે તેમને સજા સંભળાવશે. વર્ષ 2016માં બનેલી આ ઘટનાની સજાને લઈને રાજ્યભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી સામે આજે સજાની જાહેરાત થશે. આ પાંચેય આરોપીઓ પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વનિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે. આ જ કેસમાં 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામે આ ઘટના બની હતી. દલિત યુવાનોને જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના વીડિયો વાયરલ થતાં દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમરસતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. ઉના કાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. લગભગ દસ વર્ષ બાદ આ કેસ અંતિમ તબક્કે પહોંચ્યો છે. આજે સજાની જાહેરાત માત્ર દોષિતોને સજા આપવાનો નહીં, પરંતુ પીડિતોને ન્યાય અને સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો પણ પ્રશ્ન છે. આ નિર્ણય ભવિષ્યમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપશે કે નહીં તે મહત્વનું રહેશે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે, જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે. સમગ્ર દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાને હચમચાવી દેનારા ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત 'ઉના કાંડ'માં આજે વેરાવળ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં લાંબી કાયદાકીય લડત બાદ અદાલતે મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અદાલત આજે મંગળવારે દોષિતોને સજાની જાહેરાત કરશે. કોને દોષિત ઠેરવવામાં આવ્યા? વેરાવળ કોર્ટે આ કેસના મુખ્ય સૂત્રધારો અને હુમલામાં સીધી રીતે સંકળાયેલા નીચેના પાંચ શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ પર અત્યાચાર ગુજારવા અને કાવતરું ઘડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત થયો છે. પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મીઓ સામે તપાસ થઇ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઇ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીઓમાંથી બે આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે. હવે જાણો આખો બનાવ શું હતો… 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકોને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને ‘દલિત અસ્મિતા યાત્રા’ વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાનૂની કાર્યવાહીની ટાઈમ લાઈન ધરપકડ: સીઆઈડી (ક્રાઈમ) દ્વારા 4 પૂર્વ પોલીસ અધિકારીઓ સહિત કુલ 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટ: ડિસેમ્બર 2016માં હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ અને અત્યાચાર વિરોધી કાયદા (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ટ્રાયલ: ઓગસ્ટ 2018થી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે, જોકે મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મુક્ત હતા. પીડિતોની મુલાકાતે જનસૈલાબ ઉમટ્યો હતો મોટા સમઢીયાળા ગામે જ્યારે આ અમાનવીય ઘટના બની ત્યારે પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી સામાજિક કાર્યકરો, દલિત સંગઠનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને પીડિતોના ઘરની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હતી. આ મુલાકાતો માત્ર સહાનુભૂતિ પુરતી મર્યાદિત ન રહેતા એક મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી, જેમાં 'ચલો ઉના' જેવા નારાઓ સાથે હજારો લોકોએ પદયાત્રામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી પણ ઉના પહોંચ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ પીડિતોને મળવા ઉનાના મોટા સમઢીયાળા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી જેવા નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોના ઘરે જઈને ન્યાયની ખાતરી આપી હતી. આ રાજકીય મુલાકાતોને કારણે આ મુદ્દો સંસદ સુધી ગાજ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આંદોલનો થયા હતા. એકલા ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો નોંધાયા હતા. આ હિંસામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. આ કેસને કારણે ગુજરાતના તત્કાલીન રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 9:45 am

શંખેશ્વરમાં ટ્રેક્ટર નીચે કચડાતાં 2 વર્ષની બાળકીનું મોત:ચાલકની બેદરકારીથી મોટી ચંદુર ગામે ઘટના બની

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે એક દુર્ઘટનામાં 2 વર્ષ અને 2 માસની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઈ જતાં મોત થયું છે. ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારની આ બાળકી હતી. આ મામલે શંખેશ્વર પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રામા તાલુકાના દુધી અમરકોટ ગામનો એક શ્રમિક પરિવાર હાલ શંખેશ્વરના મોટી ચંદુર ગામે ખેત મજૂરી માટે આવેલો છે. ઘટનાના દિવસે સવારે, પરિવારના સભ્યો મોટી ચંદુર ગામના દિનેશભાઈના ખેતરમાં કપાસ વીણવા ગયા હતા. ફરિયાદી ધર્મેન્દ્ર મિનસિંહ અમરા ગામડને તાવ હોવાથી તેઓ ઘરે રોકાયા હતા, જ્યારે તેમના પત્ની અને બાળકો ખેતરે ગયા હતા. સાંજના સમયે ખેતરમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊભું હતું. તે દરમિયાન ફરિયાદીની 2 વર્ષની દીકરી લક્ષ્મી ટ્રેક્ટરના પાટા ઉપર ચડતી હતી. આ સમયે ટ્રેક્ટર ચાલક રાજુભાઈએ આજુબાજુ જોયા વગર કે ધ્યાન રાખ્યા વગર અચાનક ટ્રેક્ટર ચાલુ કરીને આગળ વધાર્યું હતું. ટ્રેક્ટર ચાલકની આ બેદરકારીને કારણે બાળકી ટ્રેક્ટરના પાટા નીચે આવી ગઈ હતી. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મૃતક બાળકીના પિતા ખેતરે દોડી ગયા હતા. રાત્રિના સમયે સામાજિક આગેવાનો હાજર ન હોવાથી બીજા દિવસે સવારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શંખેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શંખેશ્વર પોલીસે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 9:35 am

અમને પૂછીને શરૂ કર્યું હતું? ઈરાન સાથેના યુદ્ધમાં સાથીઓ શોધી રહેલા ટ્રમ્પને આ દેશે આપ્યો ઝટકો

(IMAGE - IANS) German Chancellor Friedrich Merz on Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં મિત્ર દેશોનો સાથ મેળવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમને સતત નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. નાટોના સભ્ય દેશ જર્મનીએ આ યુદ્ધમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

ગુજરાત સમાચાર 17 Mar 2026 9:10 am

વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, બેનાં મોત:ડમ્પર, ટેન્કર અને થાર અથડાતાં વાહનોમાં આગ લાગી

અમદાવાદ ગ્રામ્યના સાણંદ-વિરમગામ હાઈવે પર વિરોચનનગર પાટિયા નજીક મોડી રાત્રે એક ગંભીર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડમ્પર, ટેન્કર અને થાર કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી, જેના કારણે બે લોકોના કરૂણ મોત થયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે ટક્કર બાદ ત્રણેય વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ સાણંદ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 8:56 am

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પિંજરા સામે એર કુલર મુકાયા:પાણીનો છંટકાવ કરી તાપમાન ઘટાડવાનો પ્રયાસ, ડિહાઇડ્રેશનથી બચાવવા માટે ORS અને તરબૂચનો આહાર અપાશે

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ ગરમી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહી છે, ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે પ્રાણીઓ પર કોઈ અસર ન થાય તેના માટે પાણીનો છંટકાવ અને તેમના પિંજરાની આગળ કુલર મૂકવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પશુઓને ગરમીમાંથી તેના માટે શક્કરટેટી, શેરડી વગેરે જેવા પદાર્થો પણ ખાવા માટે આપવામાં આવે છે. પીવાના પાણીમાં ORS મિશ્રિત કરીને પણ આપવામાં આવે છે જેથી ગરમીમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે. પ્રાણી સંગ્રહાલયમાં બહારના વિસ્તાર કરતાં એકથી બે ડિગ્રી ઓછું તાપમાન રહે તેના માટે પાણીનો છંટકાવ પણ કરાય છે. પશુ-પક્ષી અને મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ વ્યવસ્થાકાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં અત્યારથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષીઓ, સરીસૃપો અને આવતાં મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પિંજરાઓ પાસે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા છે જેથી તેમને ઠંડક મળી રહે. હિપો, મગર અને વાઘ જેવા પ્રાણીઓને પાણી વધુ ગમતું હોવાથી તેમના હોજને પાણીથી ભરીને રાખવામાં આવે છે. આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવા સતત પાણીનો છંટકાવવધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં શક્કરટેટી, તરબૂચ અને શેરડીનો રસ વગેરે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓના પીવાના પાણીમાં ઇલેક્ટ્રલ પાવડર અને ઓઆરએસનું મિશ્રણ પણ કરવામાં આવે છે. ઉપરાંત દિવસ દરમિયાન સમયાંતરે પાણીનો છંટકાવ કરીને આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા પ્રાણીઓને ગરમીમાં આરામ મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે આહારમાં પણ ખાસ ફેરફારપક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓના પિંજરાઓની આસપાસ સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પિંજરાઓ ઉપર ગ્રીન નેટ બાંધીને સીધી ગરમીનો પ્રભાવ ઓછો થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાંના કારણે પિંજરામાં તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. ગરમીના દિવસોમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના આહારમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયના તબીબી સ્ટાફ દ્વારા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પ્રાણીમાં ગરમીના કારણે તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 8:55 am

વેરાવળમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:હિન્દુ સમાજને જાગૃત કરવા અને સંસ્કૃતિ સંરક્ષણ પર ભાર

વેરાવળના 60 ફૂટ મેઈન રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવા તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ચંદ્રમોલેશ્વર વસ્તીના હિન્દુ ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિવિધ સમાજના પટેલ પ્રમુખો, હોદ્દેદારો, સામાજિક-શૈક્ષણિક આગેવાનો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે જનરલ ચંદ્રમોલેશ્વર વસ્તીના અધ્યક્ષ ભાર્ગવ ચોલેરા, ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરી, મંત્રી ધર્મેન્દ્રભાઈ લોઢીયા, અષ્ટવિનાયક ગ્રુપના દિલીપ ટાંક અને સામાજિક આગેવાન અનિસ રાચ્છ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. વક્તા તરીકે મંજુલાબેન દેવાણી, કિન્નર સમાજના જિલ્લા પ્રમુખ પલક ચાવડા અને માર્કંડયભાઈ પાલાએ સંબોધન કર્યું હતું. બ્રહ્મ સમાજ, ભોઈ સમાજ, ગોલારાણા સમાજ, ધોબી સમાજ, સોની વેપારી એસોસિએશનના હોદ્દેદારો, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો તેમજ સત્સંગ મંડળના બહેનો પણ હાજર રહ્યા હતા. સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ હિન્દુત્વ પર આધારિત ચાર અલગ-અલગ પ્રતિકૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. વક્તાઓએ હિન્દુત્વની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણની આપણી ફરજ પર ભાર મૂકી હિન્દુત્વના પાઠ શીખવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પંચ પર બિરાજેલા મહાનુભાવો દ્વારા ભારત માતા અને ગીતા સહિતના ગ્રંથોનું પુષ્પ પૂજન કરીને કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગાન સાથે થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા અષ્ટવિનાયક ગ્રુપના યુવાનોએ સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુજીત રતનધાયરા અને ગિરીશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 8:24 am

અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ:હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. અમરેલી-સાવરકુંડલા હાઈવે સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે દૃશ્યતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. આગળનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકો સાવચેતીપૂર્વક ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા આ પલટાને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાતા સવારના સમયે ઠંડકનો માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અને ખેડૂતો પણ ઠંડીના કારણે વહેલી સવારે બહાર નીકળવામાં સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે માર્ગ પર જતા વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવા અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાય.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 8:20 am

TRB જવાન સહિત બેના મોત:ગોધરા હાઈવે પર વેજલપુર પાસે ટ્રિપલ અકસ્માત, 8થી વધુ ઘાયલ

ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર, આઈશર, ટ્રેલર અને વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં ફરજ પરના એક TRB જવાન અને વાન ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં વાનમાં સવાર આઠથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. વેજલપુર ચોકડી પાસે અચાનક ચાર વાહનો અથડાતા વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય જગદીશ મફતભાઈ બારિયાનું મોત થયું છે, જેઓ વેજલપુર ખાતે TRB જવાન તરીકે ફરજ બજાવતા હતા. અન્ય મૃતક 30 વર્ષીય અશરફ રશીદ પઠાણ લુણાવાડાના રહેવાસી અને વાન ચાલક હતા. લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈને વેજલપુરથી ગોધરા તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. વાનમાં સવાર લુણાવાડાના એક જ પરિવારના નવ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ચાર બાળકો, ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાયા બાદ એક વ્યક્તિની ગંભીર હાલત જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 8:10 am

થાણે ખાતે રાષ્ટ્રીય લોક અદાલતમાં 83000 થી વધુ કેસોનો નિકાલ

વીજળી બિલ, પાણી બિલ કેસોનો મોટા પાયે ઉકેલ 181 ખાસ બેન્ચ રચાઈઃ પાંચ લાખથી વધુ કેસ હાથ ધરાયાઃ ૧૮૭ કરોડથી વધુ રકમનું નાણાંકીય સમાધાન મુંબઈ - ન્યાયિક વિલંબને દૂર કરવાના એક મોટા પ્રયાસમાં થાણે જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં ૮૩,૪૨૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં મુકદ્દમા પહેલાના અને બાકી રહેલા કેસોનો સમાવેશ થાય છે, જેના પરિણામે કુલ ૧૮૭.૫૦ કરોડ રૃપિયાનું સમાધાન થયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. ૧૪ માર્ચના રોજ હાથ ધરવામાં આવેલી આ દિવસભરની પહેલમાં ૧૦૧ ખાસ રચાયેલી બેન્ચોમાં ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ગુજરાત સમાચાર 17 Mar 2026 7:00 am

'મને ઢોર માર મારી પરાણે સહી કરાવી':ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર લગાવ્યા માર માર્યાના આક્ષેપ

​જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મંદિરમાં માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો​પૂજારી પ્રિન્સ ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તે નાનપણથી અને બ્રહ્મલીન ધનસુખગીરી બાપુના સમયથી મંદિરમાં સેવા-પૂજા કરે છે. જે સમયે મંદિરમાં આ માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો. ગઈકાલે રવિવારે સવારે 11:30 વાગ્યે તેને પ્રાંત અધિકારી કાંત સાહેબની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો અને આખો દિવસ કશું જ ખાધા-પીધા વગર બેસાડી રાખી સાંજે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફરીથી તેને બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું. 'તું જ આ પ્રકરણમાં સામેલ છે' તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ​પ્રિન્સ ઠાકોરના જણાવ્યા અનુસાર આજે બપોરે જ્યારે તેને ફરી પૂછપરછ માટે બોલાવાયો ત્યારે સાહેબે તેને પૂછ્યું હતું કે, 'શું તું 25 તારીખે ઉપર ગયો હતો?'. પ્રિન્સે સ્વીકાર્યું હતું કે, તે રાંધણ છઠ હોવાથી દર્શન કરવા ગયો હતો પરંતુ, ત્યાં શું ચાલતું હતું તેની તેને જાણ નહોતી. આ સાંભળી પ્રાંત અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને 'તું જ આ પ્રકરણમાં સામેલ છે' તેમ કહી ગાળો ભાંડી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રિન્સે જણાવ્યું કે તેને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને 8-10 લાફા-પાટું મારીને તેની પાસે પરાણે સહી કરાવી લેવામાં આવી છે. આ મામલે તેણે ન્યાયની માંગ કરી છે. પૂજારી અને વહીવટ સાથે જોડાયેલા કુલ 26 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી​બીજી તરફ ગઈકાલે રવિવારે પણ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો હતો. પૂજારી અને વહીવટ સાથે જોડાયેલા 11 મુખ્ય વ્યક્તિઓ સહિત કુલ 26 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર સ્થળ તપાસ કરી પંચરોજકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ગોહિલ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ​આ વિવાદની સાથે હવે મંદિરની સંપત્તિ અને ઘરેણાંની તપાસ પણ તેજ બની છે. નવાબી કાળના 45 તોલા સોનાના હાર સહિતની મિલકતોની યાદી તૈયાર કરી તેની ખરાઈ કરવામાં આવશે. આ સાથે જ મંદિરની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં સંપૂર્ણ તપાસ અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવશે, જેના આધારે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 7:00 am

લોકાર્પણ કરાયું:ભુજમાં 3 કરોડના ખર્ચે ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ

શહેરના આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે કીર્તિચંદ્ર સુરીશ્વરજી તથા અન્ય સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં વાગડ સાત ચોવીસી જૈન સમાજના પરિવારોના આર્થિક સહયોગથી 3 કરોડના ખર્ચે નવનિર્મિત ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ કરાયું હતું. પ્રથમ ચરણમાં પરમાત્મા ભક્તિનો મહોત્સવ બાદ સંઘ વાજતે-ગાજતે સંભવનાથ જિનાલયથી સંકુલ સુધી યાત્રા કરી પહોંચ્યો હતો. અહીં પ્રવચન અને મંત્રોચાર વચ્ચે ‘દિવાળીબા હોલ’, લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ હોલ, લિફ્ટ સહિત વિવિધ રૂમો અને ઓફિસનું દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સંકુલનો મુખ્ય લાભ માતા જ્યોતિબેન એ.ડી. મહેતા પરિવાર અને માતા કંચનબેન સી.ડી. મહેતા પરિવારે લીધો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ઉપાશ્રય ‘દિવાળીબા હોલ’નો લાભ રાપરના મહેતા મણિલાલ હરચંદભાઈ પરિવારે લીધો હતો, જ્યારે પ્રથમ માળ પર આવેલા ઉપાશ્રય હોલનો લાભ વિજયાસરના લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોહરીયા પરિવારે લીધો હતો. લિફ્ટ, વિવિધ રૂમો તેમજ સુવર્ણ અને રજત સ્તંભોના લાભ પણ અનેક દાતા પરિવારો દ્વારા લેવામાં આવ્યા હતા. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલ મહેતા અને મંત્રી ચંદુલાલ ગઢેચાએ જણાવ્યું હતું કે, સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંકુલ બે માળ અને કુલ 14 રૂમોનું નિર્માણ કરાયું છે. કીર્તિચંદ્ર સુરીશ્વરજીએ, સંઘની ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા અને સમાજની એકતાને બિરદાવતા સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સંઘ દ્વારા ચૈત્રી શાશ્વતી ઓળી કરાવવાનો લાભ સાંતલપુરના વિરુબેન છગનલાલ સંઘવી પરિવારે લેવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આગળના ચરણમાં સંકુલના દાતાઓ, આર્કિટેક્ટ અને કાર્યકરોનું સંઘના હોદેદારો તથા અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. સવારની નવકારસીનો લાભ દિવાળીબેન મણિલાલ હરચંદ મહેતા પરિવાર, જ્યારે જમણવારનો લાભ જ્યોતિ-કંચન પરિવારે લીધો હતો. કાર્યક્રમમાં મુંબઈ, કચ્છ-વાગડ, અમદાવાદ અને સુરત સહિતના સ્થળોથી આવેલા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી અને મંત્રીના નેતૃત્વમાં સહમંત્રી રસિક સંઘવી, ટ્રસ્ટી મંડળ, સમાજના યુવા ગ્રુપના હોદેદારો તથા લાભાર્થી પરિવારોના સભ્યો સહિત સૌએ મહેનત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું મીડિયા સંકલન વી.જી. મહેતાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:49 am

ચૈત્રી નવરાત્રીને લઈને તડામાર તૈયારી:માતાનામઢમાં આવતીકાલે ઘટસ્થાપન સાથે ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો આરંભ

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણીનો આવતીકાલે બુધવારે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે 19/3 ને ગુરૂવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ માતાનામઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ચૈત્રી નવરાત્રી પર્વની દર વર્ષે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો મા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. આવતીકાલે તા.18/3 ને બુધવારના રાત્રે 9:00 કલાકે માતાજીના મંદિરમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજા બાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે 19/3 ને ગુરૂવારથી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ થશે. આ નવરાત્રી દરમિયાન અહીં આવતા મોટી સંખ્યામાં ભાવિકોને કોઈ અગવડ ન પડે તેમજ સરળતાથી માતાજીના દર્શન ભાવિકો કરી શકે તે માટે જાગીર ટ્રસ્ટ તેમજ મંદિરના પૂજારી સ્ટાફ દ્વારા આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે રાસ ગરબા સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવશે. ચૈત્રી નવરાત્રી પર્વને લઈને ચૈત્ર સુદ સાતમ તા.25/3 ના રાત્રે 8:15 કલાકે ગાદી પૂજન બાદ 8:30 કલાકે હોમ યજ્ઞ વિધિનો પ્રારંભ થયા બાદ મોડી રાત્રે 12:15 કલાકે બેડું હોમવામાં આવ્યા બાદ માતાજીનું પૂજન અર્ચન સાથે આરતી થશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:43 am

ઘરફોડ ચોરીનો બનાવ:માનકુવામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 4 લાખ રોકડ ચોરાયા

માનકુવાના બાવળવાળી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા રતનબેન મનજી દબાસીયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર રાખેલી 4 લાખ રૂપિયાની માતબર રોકડ રકમ પર હાથ સાફ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની વિગત મુજબ, ફરિયાદી રતનબેન 16 તારીખના સવારે પોતાના ઘરેથી દીકરીના ઘરે ગયા હતા. આ દરમિયાન સવારના 6:30 વાગ્યાથી બપોરના 12:15 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રાખેલા લાકડાના કબાટના દરવાજા તોડી ચોરી કરી હતી. ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને કબાટમાં રાખેલા 4 લાખ રૂપિયા ગાયબ હતા. ચોરાયેલી રકમમાં 3 લાખ રૂપિયા ફરિયાદીએ ગત 2 માર્ચના રોજ ભારાસરની ઇન્ડિયન બેંકમાંથી ઉપાડ્યા હતા, જે તમામ 500ના દરની નોટો હતી. આ સિવાય અન્ય 1 લાખ રૂપિયા 500 અને 200 અને 100ના દરની નોટો સ્વરૂપે કબાટમાં રાખ્યા હતા. તસ્કરો આ તમામ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ધોળે દિવસે થયેલી આ ચોરીની ઘટનાને પગલે માનકુવા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વધી રહેલા ચોરીના બનાવોને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:39 am

પ્લોટધારકો થયા પરેશાન:સિટી સર્વેની લાંબી પ્રક્રિયા અને ‘ભાડા’ની અનુચિત માંગણીથી પ્લોટધારકો પરેશાન

કચ્છ જિલ્લામાં જ્યાં શહેરી વિકાસ સત્તા મંડળ (UDA) અમલમાં છે તેવા શહેરો તથા આસપાસના લાગુ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં અગાઉ એન.એ. થયેલી જમીનોનું મહેસૂલી રેકોર્ડ સંબંધિત ગ્રામ પંચાયતો પાસે જાળવાતું હતું. પરંતુ હવે આ વિસ્તારોમાં સીટી સર્વે પ્રક્રિયા હાથ ધરાતા તમામ રેવન્યુ રેકોર્ડ સીટી સર્વે વિભાગને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરિણામે પ્લોટધારકોને નવી પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી પડે, જેમાં અંતિમ દસ્તાવેજ તરીકે પ્રોપર્ટી કાર્ડ જ માન્ય રહે. લાલ બુક કે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેતી નથી હોતી. ભુજ નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્લોટમાં બાંધકામની મંજૂરી મેળવતી વખતે અગાઉ રેવન્યુ આધાર તરીકે ‘લાલબુક’ પ્રથા અમલમાં હતી. પરંતુ સીટી સર્વે પ્રક્રિયા બાદ હવે આવા પ્લોટોના રેકોર્ડ નવેસરથી તૈયાર કરવામાં આવે છે. બાંધકામ મંજૂરી માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં આવતા કોઈપણ પ્લોટ ધારકે છ–હક્કપત્રક 8–અ નો ઉતારો કે 7/12 નો ઉતારો આપવાની જરૂર રહેતી હોતી નથી. પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ માન્ય દસ્તાવેજ છે. પરંતુ મળતી માહિતી મુજબ લાલબુક કે અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવે છે. પ્રોપર્ટી કાર્ડ માટે સૌપ્રથમ એન.એ. સમયની પ્રથમ એન્ટ્રી નોંધવામાં આવે છે અને ત્યારબાદ કલમ 35-ડી હેઠળ નોટિસ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રથમ એન્ટ્રી સર્ટિફાઇડ થવામાં અંદાજે બે મહિના જેટલો સમય લાગે છે. તે પછી પ્લોટધારકને અગાઉના માલિકોનો સંપર્ક કરીને બાકી કાર્યવાહી પૂર્ણ કરવી પડે છે. ત્યારબાદ પ્લોટના તમામ ઉત્તરોત્તર થયેલા વેચાણ વ્યવહારોની એક-એક ટ્રાન્જેક્શન ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં દરેક વ્યવહાર ક્લિયર થવામાં લગભગ 45 દિવસ જેટલો સમય લાગી જાય છે. આ રીતે એક જ પ્લોટના સીટી સર્વે રેકોર્ડ સંપૂર્ણ રીતે ક્લિયર થઈ તેની સનદ અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર થવામાં સરેરાશ 6 થી 8 મહિના જેટલો સમય લાગી જાય છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયા દરમિયાન પોતાના પ્લોટમાં ઘર બાંધવા ઇચ્છતા નાગરિકોને આર્થિક તેમજ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જીવનમાં એકવાર પોતાનું ઘર બનાવવાનો સ્વપ્ન જોનારા સામાન્ય લોકો માટે આ પ્રક્રિયા ઘણી વખત ભારે બની રહે છે. આથી રેવન્યુ ટાઇટલ ક્લિયર પ્લોટોના સીટી સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. લોકોનો મત છે કે સરકાર પારદર્શક, સરળ અને ઝડપી શાસન પ્રણાલી તરફ આગળ વધી રહી છે, ત્યારે સંબંધિત અધિકારીઓએ પણ હાલની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાનો વિચાર કરવો જોઈએ. આ બાબતે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો અરજદારોને રાહત મળશે અને સરકારી કચેરીઓ પરનો ભાર પણ ઘટશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:38 am

હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી વ્યવહાર:જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો ત્રણ મહિનાથી પગારથી વંચિત

એશિયાના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા સરહદી કચ્છમાં આરોગ્ય વિભાગના 500 કર્મચારીની આંતરીક સામૂહિક બદલીનો મુદ્દો હજીય ચર્ચામાં છે. ખાસ કરીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી અને વ્યવહાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત છે, જેની પાછળ આરોગ્ય તંત્ર જવાબદાર હોવાનું કર્મચારીઓનું કહેવું છે. અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત સીએચઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ઠોસ કારણ વગર બદલીના આદેશમાં ફેરવિચારણાની માંગણીને ફગાવી દેવાઇ છે. ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા સૂચના અપાઈ છતાં અધિકારીઓ દ્વારા તેમને પણ ગોળ-ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. વહીવટી વિલંબને કારણે આગામી ચૂંટણીમાં અસંતોષ ઊભો થાય તો નવાઇ નહીં. ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા અગાઉ આવેદનપત્ર અપાયું ત્યારે લેખિતમાં ચીમકી અપાઈ હતી કે, જો રજૂઆતોનું નિરાકરણ નહીં આવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાનૂની માર્ગ અપનાવવા મજબૂર બનશે. સીએચઓ કેડર દ્વારા બદલીના મૂળ આદેશો રદ કરીને તેઓને ફરી તે જગ્યાએ મૂકવામાં આવે અથવા તો નજીકની જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે તેવી માંગ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્ય વિભાગના 400 કર્મચારીની બદલી થઈ તે પૈકી ઘણાની માંગણીના આધારે આંતરિક બદલી થઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:37 am

પ્રવાસ સાહિત્ય વ્યાખ્યાનમાળાનો ચોથો મણકો યોજાયો:‘પ્રવાસ એ માત્ર ભ્રમણ પૂરતો સીમિત નથી પરંતુ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે’

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા યોાજયેલી વિદ્વાન વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રવાસનું મહત્વ સમજાવતાં મુખ્ય વક્તાએ જણાવ્યું હતું કે, પ્રવાસ એ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે. કુલપતિ ડો. મોહન પટેલ તથા રજિસ્ટ્રાર ડો. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ “ગુજરાતી પ્રવાસ સાહિત્ય” વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યાપક ડો. અભય દોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં મધ્યકાળથી અર્વાચીન યુગ સુધીના પ્રવાસ સાહિત્યની રસપ્રદ સફર કરાવી હતી. રામાયણનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, “પ્રવાસ એ માત્ર ભ્રમણ નથી પરંતુ એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિ તરફ જવાનો રાજમાર્ગ છે’. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. કાશ્મીરાબેન મહેતાએ કચ્છની ધરતીના સાહસિક પ્રવાસીઓ જેવા કે ગોકુળદાસ તેજપાળ, શેઠ શૂરજી વલ્લભદાસ અને શેઠ ખીમજી રામદાસના દ્રષ્ટાંતો આપ્યા હતા. તેમણે કચ્છી પ્રવાસીઓ દ્વારા લખાયેલા પ્રવાસ વર્ણનો પર ઊંડાણપૂર્વક સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે એક વિશેષ શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું જેમાં લાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપિકા નીલમબેન ગોહિલ અને સ્વામિનારાયણ વિદ્યાલયના શિક્ષિકા ભક્તિબેન સુથારે પોતાના પી.એચ.ડી. સંશોધનની વિગતો રજૂ કરી હતી. ડો. કાશ્મીરાબેન મહેતા, ડો. અભય દોશી અને ડો. પ્રવીણ રથવીની તજજ્ઞ સમિતિ દ્વારા લેવાયેલી મૌખિક પરીક્ષા નવા સંશોધકો માટે પ્રેરણારૂપ બની રહી હતી. કાર્યક્રમનું સંચાલન રાધાબેન ડાંગરે કર્યું હતું. આયોજનમાં રામભાઈ કાગે જહેમત ઉઠાવી હતી. નંદિનીબેન હરસીયાણીએ આભાર વિધિ કરતા કચ્છની મહેમાનગતિ અને કચ્છની અલોકિક ભૂમિનો મહિમા ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ વ્યાખ્યાનમાળામાં મોટી સંખ્યામાં પી.એચ.ડી. સ્કોલર્સ અને ગુજરાતી સાહિત્ય પ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:36 am

માર્ગ વિસ્તૃતિકરણનું કામ હાથ ધરાશે:નળ સર્કલથી શેખપીર સુધી દબાણ દૂર કરાશે

ભુજને ફરતે પસાર થતાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો તેમજ નગરપાલિકાના માર્ગોનું વિસ્તૃતિકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ભારે વાહનોની સતત અવરજવર અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગો પહોળા કરવાની કામગીરી અત્યંત જરૂરી બની છે. ખાસ કરીને નાગોર રેલવે ઓવરબ્રિજથી શેખપીર વચ્ચેનો અંદાજે આઠ કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી સાંકળો રહેતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ કયા વિભાગના અધિકારમાં આવે છે તે બાબતે લાંબા સમયથી અનિશ્ચિતતા હતી. જેના કારણે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો. હવે આ મુદ્દે સ્પષ્ટતા થતાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC) દ્વારા કામગીરી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નળ સર્કલથી શેખપીર સુધીના માર્ગને પહોળો બનાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે જીએસઆરડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે માર્ગ પહોળા કરવાની કામગીરી માટે હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે. માર્ગની હદથી લઈને કેન્દ્રબિંદુ સુધી જે સ્થળોએ દબાણ આવેલું હશે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે આ કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી, પરંતુ માર્ગ પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તે નિશ્ચિત હોવાનું તેમણે જણાવ્યું હતું. માધાપર પોલીસ ચોકી નજીક વીરાંગના પાર્ક માર્ગ પાસે આવેલા પુલને પણ પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ કામગીરી માટે કેટલીક અડચણો પણ સામે આવી શકે છે. ખાસ કરીને માર્ગને અડીને આવેલા રહેણાંક મકાનો અંગે શું નિર્ણય લેવાશે તે બાબત મહત્વપૂર્ણ બનશે. જો આ મકાનોને અસર થાય તો તેને તોડવા કે અન્ય વિકલ્પ અપનાવવા અંગે વિચારણા કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ભુજથી ભીમાસર અને ભુજ ધર્મશાળા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિસ્તૃતિકરણ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં જીએસઆરડીસીના અધિકારમાં આવતો આ આઠ કિલોમીટરનો માર્ગ ઘણા સમયથી વિકાસથી વંચિત રહ્યો છે. હવે ટૂંક સમયમાં આ માર્ગના વિસ્તૃતિકરણ અંગે નિર્ણય લેવાશે તેવી આશા છે. માર્ગ પહોળો કરવાના કારણોસર જીએસઆરડીસી દ્વારા હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે ભાસ્કર ઈનસાઈડમાર્ગના કેન્દ્રથી 15 મીટર સુધી દબાણો હટાવાશેસામાન્ય રીતે માર્ગના કેન્દ્રથી 60 મીટર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન વિસ્તૃત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો નિયમ છે. પરંતુ હાલ રાજ્ય ધોરી માર્ગને નળ સર્કલથી શેખપીર સુધી કેન્દ્રથી 15 મીટર સુધીના અન અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે. આ માટે અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. સરકારી જમીન પર સંબંધિત બાંધકામ કરનારને નોટિસો પણ અપાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:35 am

સીમા સુરક્ષા દળને આધુનિક સુુવિધાઓની ભેટ:‘તમે અમારી રક્ષા કરો છો, અમે તમારી જીવનજરૂરી સુવિધાનું ધ્યાન રાખીશું’

કચ્છના સરહદી વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમી અને રણની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે દેશની રક્ષા કરતા સીમા સુરક્ષા દળના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. માધાપર જખબૌતેરા સંઘના અગ્રણી પ્રવીણ નંદુ અને આરતી ફાઉન્ડેશનના સહયોગથી BSF ની 90મી બટાલિયનને વિવિધ જીવનજરૂરી ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા હતા. જખ મંદિરના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કમાન્ડર પરમેશકુમાર અને અન્ય જવાનોની ઉપસ્થિતિમાં 2 એરકન્ડિશનર, 3 વોટર કૂલર, 4 વોટર ડિસ્પેન્સર, 2 ટીવી, ફ્રિજ, સાઉન્ડ સિસ્ટમ તેમજ ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ જેવી સામગ્રી ભેટ આપવામાં આવી હતી. આ સાધનો આરતી ફાઉન્ડેશનના સી.એસ.આર. ડાયરેક્ટર લાલ રાંભિયા, ટ્રસ્ટી નરેશ શાહ, મેનેજર પ્રવીણ સોની અને હિતેશ ગજ્જરના હસ્તે સુપરત કરવામાં આવ્યા હતા. આ તકે લાલ રાંભિયાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, “અમે તો માત્ર ભૌતિક સાધનો આપી શકીએ છીએ, પરંતુ જવાનો જે રીતે પોતાના જીવના જોખમે આપણી રક્ષા કરે છે તેનું મૂલ્ય અમૂલ્ય છે.” આ સહયોગ બદલ આભાર માનતા આસિસ્ટન્ટ કમાન્ડર પરમેશકુમારે જણાવ્યું કે, આવી સુવિધાઓથી સરહદ પર તૈનાત સંત્રીઓની સુવિધામાં વધારો થશે. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ જખ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં દીવાલો પર અંકિત ભારત રત્ન વિભૂતિઓ અને પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રો જોઈને કમાન્ડરે પ્રશંસા કરી હતી. આગામી સમયમાં અહીં રમતગમત સંકુલ અને મલ્ટીપર્પઝ હોલના નિર્માણ અંગે પણ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:30 am

પોલીસે દારૂની મોટી ખેપ નાકામ કરી:આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઇસમ પકડાયા

ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂ.78.95 લાખનો વિદેશી દારૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે પહેલાં આડેસર ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે દારૂના મોટા જથ્થા સાથે બે જણાને પકડી ખેપ નાકામ કરી હતી. પોલીસે રોકડ, ચોખાના કટ્ટા, વાહન સહિત કુલ રૂ.1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત 10 સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આડેસર પીઆઇ વી.એ.સેંગલે જણાવ્યું હતું કે, વધી રહેલી દારૂની હેરાફેરી વચ્ચે આ બદી નેસ્ત નાબૂદ કરવાની પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આપેલી સૂચના મુજબ ટીમ સાથે આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાને તેમને મળેલી બાતમી મુજબની હરિયાણા પાસિંગની ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.78,95,000 ના મુલ્યના વિદેશી શરાબની 4,632 મોટી બોટલો અને 7,680 ક્વાર્ટરિયા સાથે હરિયાણાના નુરદિન મગતુ ડુમ (મીરાસી) અને શ્રીભગવાન ઉદેસિંગ ચમારને પકડી લઇ વાહન, રૂ.7.09 લાખની કિંમતના ચોખાના 622 કટ્ટા, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.1 કરોડ 11 લાખ 14 હજાર 330 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓની પુછપરછ કરાઇ હતી. માલ મોકલનાર અને મગાવનાર આરોપીઓ

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:27 am

મહામૂલા જળનો થયો વેડફાટ:સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં એકાએક ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાયું

શહેરને નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં સોમવારે બપોરે ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાઈ જવાની ઘટના બની હતી. શહેર નજીક સ્મૃતિવન વિસ્તારમાં માર્ગ વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી. માહિતી મુજબ કુકમા તરફથી ભુજમાં આવતી નર્મદા પાણીની બે મુખ્ય લાઇનોમાંથી 500 એમએમ વ્યાસની એક પાઇપલાઇન અચાનક તૂટી ગઈ હતી. આ ઘટના બનતાં પાણીનો ફુવારો આશરે 30 થી 40 ફૂટ સુધી ઊડી રહ્યો હતો, જેના કારણે થોડા સમય માટે આસપાસના માર્ગ પર પાણીનો પ્રવાહ ફેલાયો હતો અને માર્ગના કામમાં પણ અવરોધ સર્જાયો હતો. પાણીનો ભારે વેડફાટ થતો હોવાથી તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અંગે ભુજ નગરપાલિકાની પાણી સમિતિના પૂર્વ ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ઉનાળામાં શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે હાલમાં 900 એમએમ વ્યાસની નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. પરંતુ સોમવારે જે ભંગાણ પડ્યું તે જૂની 500 એમએમ પાઇપલાઇનમાં થયું હતું. પાઇપ તૂટવાની જાણ થતા જ નગરપાલિકાના પાણી વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો સપ્લાય થોડા સમય માટે બંધ કરી તાબડતોબ રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઝડપી કામગીરીના કારણે સાંજ સુધીમાં પાઇપલાઇનનું રીપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી ભુજ શહેરમાં પાણીનો પુરવઠો નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ માર્ગ કામ દરમિયાન જરૂરી તકેદારી રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ટાળી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમ્યાન શહેરમાં પાણીની ખપત નોંધપાત્ર રીતે વધતી હોય છે. એવામાં આ પ્રકારના ભંગાણથી વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડે છે. મહામૂલા જળનો વેડફાટ : સ્મૃતિવન પાસે માર્ગ વિસ્તરણના કામ દરમ્યાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા 30 થી 40 ફુટ જેટલો ઉંચો ફુવારો ઉડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:13 am

ક્રાઇમબ્રાંચની કાર્યવાહી:મકરપુરામાં વેપારીના રૂા.2 લાખ સેરવીને ભાગી ગયેલા સુરતના 2 ગઠિયા ઝડપાયા

મકરપુરા જીઆઈડીસીની યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચની બહાર સ્ક્રેપના વેપારીને વાતોમાં ભેળવીને રૂા. 2 લાખ સેરવી લેનારા સુરતના બે ગઠિયાઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે,માંજલપુર ખાતે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ મકરપુરા જીઆઇડીસીમાં સ્ક્રેપનો ધંધો કરે છે. 13 માર્ચના રોજ બપોરે 12 થી 12:30 વાગ્યા દરમિયાન મકરપુરા જીઆઈડીસી સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ખાતે બે અજાણ્યા ઈસમો બેંકમાં આવીને વેપારીને નાસ્તો કરવાના બહાને બેંકની બહાર લઈ જઈને વાતોમાં ભેરવીને થેલીમાંથી રૂા.2 લાખની ચોરી કરી હતી. જે અંગે માંજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં. દરમિયાન બેંક પાસે રાજસ્થાન પાસીંગની મારૂતી બલેનો કાર અને તેમાં બેઠેલા બે યુવકો શંકાસ્પદ જણાયા હતાં. દરમિયાન પોલીસે દંતેશ્વર તળાવ સામેથી કારને રોકીને તેમાં સવાર સાજીદખાન પઠાણ અને આયુષ મિશ્રાની ધરપકડ કરી હતી. આ બંને યુવકો અગાઉ પણ લોકોને છેતર્યાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસને રૂા. 80 હજાર રોકડ, મોબાઈલ ફોન અને બલેનો કાર મળી રૂા.6.80 લાખની મત્તા કબજે કરી હતી. યુવકો બીજા બે આરોપીઓ સાથે મળીને ઘટનાના દિવસે સુરતથી બલેનો કારમાં વડોદરા આવ્યાં હતાં. આરોપીઓ સાત મહિના પહેલા પોતાના સાગરીત સંજયસીંગ અને દિપક ધોબી સાથે મળીને સંજયસીંગની સ્વિફ્ટ કારમાં સવાર થઈને બનારસ,આઝમગઢ ખાતે પણ છેતરપીંડી કરી ચુક્યાં છે. આરોપી બેંકમાં આવતા નાગરિકોની રેકી કરતા હતાઆરોપીઓ બેંકમાં આવતા નાગરિકોની રેકી કરતા હતાં. દરમિયાન ભોગ બનનારને વાતોમાં પરોવીને તેમની પાસે બે નંબરના રૂપિયા છે અને તેઓ બહારના રાજ્યના હોવાથી બેંકમાં પૈસા જમા કરાવવા મદદની જરૂર છે, તેમ જણાવતા હતાં. ત્યારબાદ નાસ્તો કરાવવાના બહાને બેંકની બહાર લઈ જઈ, ચેક્સ કલરના રૂમાલમાં બાંધેલું કાગળનું બંડલ બતાવતા, જેના પર 500 રૂપિયાની માત્ર એક જ અસલ નોટ મુકતા હતાં. આ બંડલ પકડાવી તેઓ નજર ચૂકવીને ભોગ બનનારની થેલીમાંથી રૂપિયા કાઢી લેતા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:05 am

નર્મદા પરિક્રમાને લઈને તંત્ર સજ્જ:ઉત્તરવાહીની પરિક્રમામાં પોલીસ કેબિન અને વૉચ ટાવર ઊભા કરી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે

19 માર્ચના રોજ ચૈત્રી નવરાત્રી સાથે ઉત્તરવાહીની નર્મદા પરીક્રમાની પણ શરૂઆત થઈ રહી છે. નર્મદા પરિક્રમામાં પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે. આ વર્ષે ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલશે.જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા ત્રણેયનો સુમેળ જોવા મળશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા કરનારા હજારો શ્રધ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ લાખો લોકો જોડાય છે. છેલ્લા ત્રણેક વર્ષોમાં લોકોની ભારે ભીડને જોઈને રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાને લગતી સુવિધાઓ માં વધારો કરી રહી છે. મહત્વનું છે કે, પરિક્રમા દરમિયાન નર્મદા નદીને બે વખત પાર કરવાની હોય છે. જેમાં બે વર્ષ પહેલા અસુવિધાના કારણે ઘણા પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા પુરી કરી શક્યાં ન હતાં. જે બાદથી જ સરકાર દ્વારા હંગામી બ્રિજ બનાવી સુવિધા આપી રહી છે. શ્રદ્ધાળુઓ માટે રૂા.5.41 કરોડના ખર્ચે આ હંગામી વ્યવસ્થાઓ કરાઈ યાત્રાધામ બોર્ડ દ્વારા ભક્તો માટે રૂા. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાઓ તૈયાર કરાઈયાત્રાધામ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમાર્થીઓ માટે અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક તૈયાર કરાયા છે. સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:04 am

ડીડીઓ દ્વારા અપાઈ વિવિધ કામોની માહિતી:5 વર્ષમાં ICDS શાખા દ્વારા 170 આંગણવાડી મંજૂર કરાઈ

વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ટર્મ 16 માર્ચના રોજ પુરી થતાં તમામ સભ્યોનો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા કરાયેલા કામોની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, જિલ્લા પંચાયતની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી. જેમાં ભાજપના 27 અને કોંગ્રેસના 7 સભ્યો ચૂંટાઈ આવ્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા 8 કરોડના ખર્ચે 106 કામ કરવામાં આવ્યા છે. બાંધકામ શાખા દ્વારા 844 કરોડના ખર્ચે 559 કામ પૂર્ણ કરાયા છે. આયુર્વેદિક શાખા દ્વારા 8,72,810 લાભાર્થીને સારવાર આપવામાં આવી. ICDS શાખા દ્વારા 19.98 કરોડના ખર્ચે 170 આંગણવાડી મંજૂર કરાઈ છે. શિક્ષણ શાખા દ્વારા 52.26 કરોડના ખર્ચે 291 શાળાઓનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પશુપાલન શાખા દ્વારા 16 કરોડના લાભ આપવામાં આવ્યાં છે. વિકાસ શાખા દ્વારા 440 કરોડની ગ્રાન્ટ જેમાંથી 365 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના કામ પ્રગતિ હેઠળ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 5 કરોડના ખર્ચે 30 એમ્બ્યુલન્સ ખરીદાઈ હતી. ખેતીવાડી શાખા દ્વારા 34.80 કરોડની સહાય ટ્રેક્ટર ખરીદવા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:00 am

મેંદરડાના તા.પં.પ્રમુખની રાજીનામા બાદ આક્ષેપો સાથે સામૂહિક આપઘાતની ચીમકી:અરવિંદભાઈએ મારો ઉપયોગ કર્યો, TDO ફાઈલ પાસ કરવા 10% લાંચ માંગે છે; MLAનો ગાળાગાળી કરતો ઓડિયો વાઈરલ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા ઉર્ફે પરિતે જ્ઞાતિ ભેદભાવ અને ત્રાસથી કંટાળીને પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ રાજીનામાની સાથે જ તેમણે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સહિતના આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, પરિત માકડિયાની ધારાસભ્ય અરવિંદ લાડાણી અને TDO રાજેન્દ્ર ઠાકોર સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. પરિત દ્વારા ફાઈલો પર સહી કરવાના TDO 10% રૂપિયા માગવાની વાત કરતા ધારાસભ્ય અરવિંદ લાડાણી રોષે ભરાયા હતા અને ફોન ઉપર TDOને ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત ઋષિકેશ પટેલને તમે લેટરપેડ પર લખીને આપ્યું એટલે મગરાની બદલી થઈ હોવાની વાત કરતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પારો છટક્યો હતો અને તેમણે ટેલિફોનિક વાતચીતમાં જ પ્રમુખ સામે બેફામ વાણી-વિલાસ અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ પણ વાંચો: ટર્મ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું જ્ઞાતિ ભેદભાવ અને રાજીનામું આપવા મજબૂર કર્યાનો આક્ષેપગઈકાલે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર સામે ભેદભાવના આક્ષેપ કર્યા હતા. જે બાદ આજે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા ઉર્ફે પરિતે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, હરેશ ઠુંમર, ધારાસભ્ય અરવિંદ લાડાણી, વિનુ રાજાણી અને ચિરાગ રાજાણી દ્વારા કરવામાં આવતા જ્ઞાતિ ભેદભાવ અને સતત કનડગતના કારણે તેમણે ના છૂટકે રાજીનામું આપવું પડ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, અગાઉ પણ એક અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખને આ જ રીતે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. આયોજન અને એજન્ડા બાબતે ધારાસભ્ય-અધિકારીની મિલીભગતજયકિશન માકડિયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મારે અચાનક રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે 16 તારીખના વિકાસ કામો માટેના એજન્ડા કઢાવ્યા હતા, જેમાં 15 ટકા વિવેકાનંદ ગ્રાન્ટનું આયોજન હતું. ધારાસભ્ય અરવિંદ લાડાણી અને હરેશ ઠુંમરે તાલુકા વિકાસ અધિકારી (TDO) રાજેન્દ્ર ઠાકોરને ફોન કરી મીટિંગ રદ કરાવી દીધી હતી. જ્યારે મેં ઓફિસમાં કામ કરતા પ્રશાંત નામના યુવક પાસે એજન્ડા માંગ્યા, ત્યારે તેણે કહ્યું કે, અરવિંદભાઈ અને હરેશભાઈએ એજન્ડા આપવાની મનાઈ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે હું TDOને મળ્યો, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે અરવિંદભાઈ અને હરેશભાઈનો કોલ હોવાથી એજન્ડા બજાવવાના નથી. મેં વિનંતી કરી કે તમે એજન્ડા બજાવી દો, જો કોરમ પૂરો ન થાય તો મીટિંગ રદ કરજો, છતાં તેમણે મારી વાત માની નહીં. ભ્રષ્ટાચાર અને 10 ટકા લાંચના ગંભીર આક્ષેપોજયકિશન માકડિયાએ તાલુકા પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર અંગે ધડાકો કરતા કહ્યું કે, તાલુકા પંચાયતમાં ફાઈલો અટકાવવામાં આવે છે. જો 25-50 હજાર રૂપિયા લાંચ આપો તો જ મીટિંગો યોજાય છે. મેં લાંચ ન આપી એટલે આ બધી ગેમ રમાઈ છે. કોઈપણ કામના 10% રૂપિયા આપો તો જ અધિકારીઓ અને કર્મચારીઓ ફાઈલો પાસ કરે છે. મારી પોતાની ઘણી ફાઈલો પણ અટકાવી છે, જેના પુરાવા મારી પાસે છે. વાઇરલ ઓડિયો ક્લિપ અને રાજકીય કાવતરુંજયકિશન માકડિયાએ ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથેના ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે, વાઇરલ ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે, અરવિંદભાઈ હરેશ ઠુંમરને પાડવા માંગે છે અને હરેશભાઈ અરવિંદભાઈને પાડવા માંગે છે. હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર બની ગયો છું. અરવિંદભાઈએ માત્ર મારો ઉપયોગ જ કર્યો છે. તેઓ વિકાસની માત્ર વાતો કરે છે, પણ ગ્રાન્ટ વાપરતા નથી. મેં સાંસ્કૃતિક ભવન માટે ગ્રાન્ટ માંગી હતી પણ બે વર્ષથી તે બહાના બતાવી રહ્યા છે. આ પણ વાંચો: મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ, બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા 'હું, મારી પત્ની અને દીકરી સામૂહિક આત્મવિલોપન કરીશું'પોતાના પર થતા અત્યાચારથી વ્યથિત થઈને પૂર્વ પ્રમુખે ચીમકી આપી છે કે, જો આ સમગ્ર મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં હું, મારી પત્ની અને મારી દીકરી અમે સામૂહિક આત્મવિલોપન કરીશું. તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી ચૂંટણીમાં દલિત સમાજ સત્યનો સાથ આપશે. હરેશ ઠુંમરે કહ્યું- અરવિંદ લાડાણી બેઠકથી દૂર રાખવા માંગે છેઆ મામલે હરેશ ઠુંમરે જણાવ્યું હતું કે, મેં ઓડિયો ક્લિપ સાંભળી છે અને સમગ્ર મુદ્દો જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાન પર મૂક્યો છે. ધારાસભ્ય દ્વારા જો કોઈ ફરિયાદ હોય તો સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ, પરંતુ દુઃખની વાત છે કે ધારાસભ્ય પોતે મને બેઠકથી દૂર રાખવાની વાતો કરી રહ્યા છે. અરવિંદભાઈએ પ્રમુખને ગેરમાર્ગે દોર્યા છે. ચિરાગ રાજાણી પંચાયતમાં કોઈ હોદ્દો ધરાવતા નથી છતાં ધારાસભ્ય તેમનું નામ લે છે તે ખોટું છે. મને ડેમેજ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. TDO રાજેન્દ્ર ઠાકોરે આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યાTDO રાજેન્દ્ર ઠાકોરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, મેં એક અઠવાડિયા પહેલા જ ચાર્જ સંભાળ્યો છે અને અટકેલા કામોને વેગ આપવા પ્રયત્ન કરી રહ્યો છું. એજન્ડા બંધ રખાયો નથી, પરંતુ આમંત્રિત સદસ્યોએ હાજર રહેવાની અસમર્થતા દર્શાવતા અનિવાર્ય સંજોગોમાં મીટિંગ બંધ રાખવી પડી હતી. લાંચ કે ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે. MLA અરવિંદ લાડાણીએ ફોન કરતા કોલ રિસીવ ન કર્યોઆ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે એક પણ ફોન કોલ રિસીવ કર્યો ન હતો, જેના કારણે તેમનો પક્ષ જાણી શકાયો નથી. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે, કારણ કે એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો છે તો બીજી તરફ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. મેંદરડા તા.પં.ના પ્રમુખ પ્રમુખ જયકિશન માકડિયા (પરિત) અને ઇન્ચાર્જ TDO રાજેન્દ્ર ઠાકોર વચ્ચેની વાતચીત પ્રથમ વાતચીત પરિત: જી સર, પરિત બોલું તાલુકા પંચાયત પ્રમુખ.TDO: હા બોલો બોલો.પરિત: આપણે જે એજન્ડા કઢાવ્યા હતા, એ મામલે મારે હરેશભાઈ સાથે વાત થઈ અને અરવિંદભાઈ સત્રમાં છે તો તેનો ફોન ઉપાડ્યો નથી, એટલે જે એજન્ડા કઢાવ્યા, તે મને મોકલી દો.TDO: હું વાત કરું હરેશભાઈને પૂછી લઉં.પરિત: હેં!TDO: હરેશભાઈ સાથે વાત કરી લઉં.પરિત: એટલે તમારે તેને પૂછીને કામ કરવાનું છે. એવું છે સાહેબ?TDO: હું લેટર કરી દઉં તમને ચાલો...પરિત: લેટર કરી દો તેમ નહીં, પરંતુ શું તમારે તેને પૂછીને કામ કરવાનું છે?TDO: એમને કહ્યું હતું કે જે જે સભ્ય હોય તે તો હાજર રહેવા જોઈએ ને.પરિત: પણ એવું નથી, પ્રમુખ તો હું છું ને? તમે કહો છો કે હરેશભાઈને પૂછીને, એટલે તેને પૂછીને બધું કરવાનું છે તમારે સાહેબ?TDO: ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ બંનેનો મને ફોન આવ્યો હતો.પરિત: તમને બંનેનો ફોન આવ્યો, પરંતુ હું માનું છું એજન્ડા મેં કઢાવ્યા, તો પ્રમુખ કહે કે ધારાસભ્ય કહે તે પ્રમાણે ચાલવાનું હોય કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ કહું તે પ્રમાણે?TDO: હા વાત સાચી પરંતુ તે પણ બંને સભ્યો છે ને...(TDO એ ફોન કટ કરી નાંખ્યો) ​બીજી વાતચીત ​પરિત: સાહેબ.TDO: હા.પરિત: એજન્ડા કઢાવેલા છે તે દિવસે કઈ રીતે મીટિંગ બોલાવવાની છે કે નથી બોલાવવાની, તે હરેશભાઈને તમારે પૂછીને કરવાનું છે? જે કંઈ હોય તે મને ક્લિયર કહી દો એટલે વાત પૂરી થાય.TDO: ના હરેશભાઈને નથી પૂછવાનું પરંતુ બંને સભ્યોએ મને ફોન (કર્યો હતો).પરિત: સાંભળો સાહેબ.TDO: હું તમને લેટર કરી દઉં છું.પરિત: તમે કઈ રીતે મને લેટર કરી શકો? પ્રમુખે એજન્ડા કઢાવ્યા તો પછી લેટર કેવી રીતે કરી શકો મને? તમને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ના પાડે માટે તમે મને લેટર કરી દો એમ?TDO: એમને ના નથી પાડી પરંતુ તે લોકો હાજર નથી રહેવાના.પરિત: તો મીટિંગ બરખાસ્ત રહેશે કારણ કે કોરમ પૂરું નથી.TDO: હા એ જ કહું, મીટિંગ બરખાસ્ત રહેશે.પરિત: તો તમે એજન્ડા કેમ બજાવ્યા નથી?(ફરી TDO કોલ કટ કરી નાખે છે) ​ત્રીજી વાતચીત ​પરિત: જી સાહેબ ફોન કેમ કટ કરી નાખો છો? જે સત્ય વાત છે તે તો તમે જાણો.TDO: તમે ઓફિસ આવીને વાત કરો, હું તમારી સાથે વાત તો કરું છું.પરિત: એવું નથી સાહેબ, દાત્રાણા કાર્યક્રમ છે ત્યાં, અને ઓફિસે આવીએ તો પણ તમે ફ્રી હોવ ના હોવ.TDO: તો તમે દાત્રાણા આવો તો હું પણ દાત્રાણા આવવાનો છું, રૂબરૂ વાત કરીએ.પરિત: અત્યારે તમે વાત કરી લો ને, તમે એજન્ડા કેમ બજાવ્યા નથી એ મારે માહિતી જોઈએ છે.TDO: હું તમને લેટર આપી દઉં છું.પરિત: કોરમ પૂરું ન થાય તો મીટિંગ તમે રદ કરી નાખજો, પરંતુ હરેશભાઈ અને અરવિંદભાઈના કહેવાથી તમે મીટિંગ રદ કરી તેવું મને તમે કીધું છે કે નહીં કીધું?TDO: ના મેં એવું નથી કહ્યું, મેં એવું કહ્યું છે કે સભ્યો હાજર નથી રહેવાના.પરિત: અરે સાહેબ સભ્યો હાજર રહેવાના કે નથી રહેવાના એ તો મીટિંગમાં જોવાનું હોય, તમે મીટિંગ રદ કેમ કરી નાખી?TDO: હું તમને લેટર આપું છું સભ્યો હાજર નથી રહેવાના.પરિત: જો લેટર તમે મને આપો છો, બોલો.TDO: આપું છું લેટર તમને.(ફરી TDO એ કોલ કટ કરી નાખ્યો) માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જયકિશન માકડિયા (પરિત) વચ્ચેની સંપૂર્ણ વાતચીત પ્રથમ વાતચીત પરિત: હેલ્લોઅરવિંદ લાડાણી: ક્યાં?પરિત: મેંદરડા છું.અરવિંદ લાડાણી: વાત થાય તેમ છ?પરિત: હા બોલો બોલો.અરવિંદ લાડાણી: શું જનરલ બોર્ડ હતું આજે કંઈ?પરિત: હા.અરવિંદ લાડાણી: શું માથાકૂટ હતી?પરિત: માથાકૂટ તો હવે આયોજનમાં ઘોકે ચડ્યું છે, નોખી નોખી બધા માથાકૂટ કરે છે. દર વખતે આવું થાય છે. અરવિંદભાઈ હું તમને સત્ય વાત કરું તો દર વખતે આયોજન કરે છે, એમાં પ્રમુખના જે ભાગમાં આવતા હોય તે આપી દો પછી ન્યાય સમિતિના ચેરમેન રતાભાઇના ભાગમાં જે આવતા હોય તે આપી દો. કોઈ વધારે માગતા નથી, પરંતુ તમે પછી આ વખતે કામ બદલાવ્યું. તમે બધાએ.અરવિંદ લાડાણી: કેમ બદલાવ્યું એટલે, તમારે બે આયોજન કરવાના છે. 15મું નાણાપંચ અને 15 ટકા.પરિત: એમાં વાત જ એ છે કે, મને અત્યારે સાત-આઠ વ્યક્તિઓનો ફોન આવ્યો કે ભાઈ, અરવિંદભાઈ કે એમ જ કરવાનું છે અને અરવિંદભાઈ કોની લઈને ચાલે ચિરાગભાઈ અને વિનુભાઈ, કાલ સવારે આપણે આપણી રીતના જોઈ લેશો અને બધાએ મીટિંગ બોલાવી નક્કી કર્યું કે આયોજન ફેર કરી નાખો, આપણે નવ જણાને જરૂર છે, જેમાં જિલ્લા પંચાયતના બે સભ્યોની જરૂર છે તો તેને પણ બોલાવી લો.અરવિંદ લાડાણી: મારી વાત સાંભળ, તમારે 16 લોકોને જ કરવાનું હોય જિલ્લા પંચાયતના સભ્યને કોઈ ગ્રાન્ટ દેવાની થતી નથી.પરિત: પણ મારી વાત સાંભળો કાલે રાતે, હરેશકુમારનો ફોન આવ્યો હતો.અરવિંદ લાડાણી: હરેશ ઠુંમરને ઠેકાડીને કહી દેવાનું તારે શું છે આમાં વચમાં?પરિત: મને ફોન આવ્યો હરેશભાઈનો કે આયોજન કર્યું કે નહીં, ત્યારે મેં કહ્યું કે આયોજન નથી કર્યું માત્ર ફોર્માલિટી કરી છે. હજુ અમારે બેઠક કરવાની વાર છે, પછી એ પૂરું થયું અને બહાર ગયો મને TDOનો કોલ આવ્યો કે DDO સાહેબનો કોલ આવ્યો હતો કે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરી આયોજન બેઠકમાં હોવી જોઈએ. ત્યારે મેં કીધું કે મને ચારે કોરથી બધા દબાવે છે તો મારે શું કરવાનું, મારે રાજીનામું આપી દેવું છે આવી રીતે.અરવિંદ લાડાણી: મારી વાત સાંભળ તું 9 તારીખનો એજન્ડા કાઢી નાખ.પરિત: નય... નય... મેં 8 તારીખના એજન્ડા કાઢ્યા છે, માર્ચ પહેલા મને DDO, TDO સાહેબે કહ્યું કે આ બધું માર્ચ પહેલા પૂરું કરી નાખો 27 તારીખનો એજન્ડા.અરવિંદ લાડાણી: નાના એવું કાંઈ ફરજિયાત નથી. મારે પણ માણાવદરનું હજુ બાકી છે, 8 તારીખ રાખીએ.પરિત: 28, 29 તારીખ કરી નાખું ને? તમને પૂછ્યા વગર હું કંઈ કરીશ નહીં.અરવિંદ લાડાણી: 8 એપ્રિલના એજન્ડા કાઢી નાખ.પરિત: મેં 28, 29 તારીખના એજન્ડા કઢાવ્યા છે અને જે કંઈ થશે તે મીટિંગ પહેલા અને મીટિંગ પછી પણ તમને કોલ કરીશ.અરવિંદ લાડાણી: પણ ત્યાં મારે આવવાની ગણતરી છે.પરિત: અરે પણ તમે ન હોય તો પણ તમે મને કહી દો ને કે આપણે શું લેવાનું છે. હું કરી નાખીશ તમે કહો તેટલું જ થશે બીજું કંઈ હું નહીં કરી.અરવિંદ લાડાણી: આ લોકોની સામે ચાલે છે. તારો પ્રશ્ન નથી. તું સાઈડમાં છો, હરેશ કે તેમ બધું ન થાય અને હું પણ જિલ્લા પંચાયતનો સભ્ય છું.પરિત: મારી વાત સાંભળો... હું તેનાથી કંઈ ચાલતો પણ નથી, તેને કોઈ દિવસ એક રૂપિયાની ગ્રાન્ટ પણ આપી નથી. આપણને બધી ખબર પડે છે, DDO સાહેબ મને બોલાવીને ધમકાવે, તો હવે મારે જવું ક્યાં? હવે હું રાજી એ નામો આપીને ઘરે બેસી જાવ બીજું તો શું શું કરવું.અરવિંદ લાડાણી: તારે રાજીનામું નથી દેવું તારો અધિકાર છે, આઠ કે નવ તારીખના એજન્ડા કાઢી દે એને કહી દે કે.પરિત: (રડતા અવાજે) અરવિંદભાઈ મને આશા હતી કે હું પ્રમુખ બને તો અરવિંદભાઈ કેસે તેમ થશે બધું.. પણ બધા દબાવે છે મને તો.અરવિંદ લાડાણી: તને ન કોઈ દબાવે હું કહી દઉં છું.પરિત: બધા દબાવે છે તમે વિચાર તો કરો, આજ સુધી આયોજન થાય તેમાં પ્રમુખના વધારે પૈસા હોય.અરવિંદ લાડાણી: મારે વાત પણ થઈ ગઈ હતી અને બધાને કંઈ પણ દીધું હતું મેં, જેને કહેવાનું હતું તેને અને કહ્યું કે ભાઈ પ્રમુખના ભાગનો અલગ વહીવટ રાખવાનો છે બધી વાત થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયતના સભ્યોને એક પણ રૂપિયો દેવાનો થતો નથી.પરિત: (રડતા અવાજે) તો આ TDO અને DDO મને ફોન કરે તો હવે મારે શું કરવું?અરવિંદ લાડાણી: એટલે તને DDO એ ફોન કર્યો હતો?પરિત: નહીં મને TDO સાહેબે કહ્યું હતું.અરવિંદ લાડાણી: હું આ ઘડી TDOને કહી દઉં છું. કે મીટિંગ બોલાવવાની નથી થતી તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ પર.પરિત: આ વસ્તુ વિચારો કે મારે પૈસા 30-35 લાખ હોય તો આયોજન કરવું છે. બાકી રાજીનામું આપી જય ભગવાન કરી નાખવું છે, 35 લાખ રૂપિયા ગ્રાન્ટ જોઈશે. બાકી રાજીનામું આપી દઉં છું. કારણ કે જે તે સમયે મારી આશા અરવિંદભાઈ તમારી પાસે હતી, જ્યારે હું કોંગ્રેસમાં લડતો હતો તે દિવસે પણ તમારા ભેગો હતો અને આજે પણ તમારા ભેગો છું, પણ આજે 20 લાખ રૂપિયા માત્ર, જ્યારે ઓલો દીપો બાપ થઈને રહેતો હતો, ત્યારે વિનિયોને બધા કેમ આપતા હતા, ચિરાગ અને બધા તેને કેમ પૈસા આપતા હતા? બાપ થઈને રહેતો એટલે ને?અરવિંદ લાડાણી: એટલે તો તેને કાઢવા પડ્યા. તને બેસાડવાનું કારણ શું બીજું.પરિત: તો અત્યારે તો હવે મને દબાવવાની વાત થઈને.અરવિંદ લાડાણી: કોણ દબાવે છે તને કે મને?પરિત: દબાવવા જેવું છે ને કારણ કે પૈસા મને કોઈ આપતા નથી.અરવિંદ લાડાણી: હું તારું આયોજન તૈયાર કરીને રાખજે.પરિત: મારે 30-35 લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય તો આયોજન કરવું છે. બાકી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે અને સુરત ભેગા થઈ કામે ધંધે ચડી જવું છે.અરવિંદ લાડાણી: 15 અને બંનેમાંથી થઈ તારી યાદી તૈયાર રાખજે અને તેની ગાઈડ લાઈન અને અમુક વસ્તુઓ જોશે જે તારે આની પાસે બેસવું ફરજિયાત છે, ઓલા બધા ખોટા છે.પરિત: મારે તેના કોઈની બુદ્ધિ હાંકવી પણ નથી, સાંભળો અત્યારે હું તમને સત્ય સનાતન કહું છું કે વિનુભાઈ, ચિરાગભાઈ મારા દુશ્મન નથી, પરંતુ મેંદરડા આખામાં વાત થાય એવી અત્યારે હાલે છે, અરવિંદભાઈ હું તમારા ખીલાફ ક્યારેય પણ નહીં જાવ.અરવિંદ લાડાણી: હા એ તો કરવાના જ છે કારણ કે હરેશ જ બધી અવ્યવસ્થા ઊભી કરી છે.પરિત: મેંદરડા જનરલમાં વાત ચાલે છે કે વિનુભાઈ અને ચિરાગભાઈ કહે તેટલું જ અરવિંદભાઈ કરે છે, હવે આવતી ચૂંટણીએ મત લેવા આવે જોઈએ.અરવિંદ લાડાણી: એ તો ભલેને કહે તો પછીની વાત છે, એ તો એવાના મોઢે કરીને બાંધવાના થતા જ નથી.પરિત: પણ મારું તો તમે જુઓ હું તો કોંગ્રેસમાં હતો, ત્યારે પણ તમારા ભેગો હતો, મારે 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરવું બાકી મારે રાજીનામું આપી દેવું છે તો એવું પણ મને કોઈએ કહ્યું કે તું રાજીનામું આપી દઈશ તો ઉપપ્રમુખ પાસે બધું ચાલ્યું જશે અને વિનુભાઈ આયોજન કરી લેશે તો મેં કહ્યું કે હું કંઈ કરીશ નહીં અને સહીઓ પણ નહીં કરી. આયોજન જ નથી કરવું. ભલે વર્ષ પૂરું થઈ જાય. મારે પણ કંઈક આશા તો હોય કે નહીં જેદી તમે ચૂંટણી લડતા હતા.અરવિંદ લાડાણી: હું તને જે કહું તે સાંભળ.પરિત: કયો.અરવિંદ લાડાણી: તમારે ત્યાં બધા સભ્યો અપેક્ષા વાળા છે. એટલું અમારે માણાવદરમાં નથી અને એ સંકલનમાં તને બધા ગરેડે ચડાવી દેશ. હરેશ બધે બાજુ ખેલ નાખશે અને હું આ બંનેને કહી દઉં છું કે પરિતને તમે નજરમાં રાખીને આખું આયોજન કરી લો.પરિત: એ લોકો મને 20 લાખ રૂપિયા ખાલી આપે છે.અરવિંદ લાડાણી: અરે પણ હું તેને કહી દઉં ને, એ તારે ક્યાં જોવાનું છે?પરિત: હા એ લોકો બધાને કહી દો કે તમને બધાને દસ દસ આવે અને વધે તે પરિતને આપી દો ચાલો તેવું કરી દો આ પિક્ચર પૂરું બસ.અરવિંદ લાડાણી: આને કહી દઉં છું કે 8, 9 તારીખનો એજન્ટા કાઢી દે અને તે દિવસે કંઈ દબાવવાનું નથી TDO આપણી નીચે છે.પરિત: સાંભળો 28 તારીખનું કઢાવ્યું છે તે? માર્ચ પહેલા કરવું પડે તેવી મને વાત મળી છે, એટલે 28 તારીખના એજન્ડા કઢાવ્યા છે.અરવિંદ લાડાણી: એને કહી દો હજુ ક્યાં માણાવદરનું આયોજન પણ થયું છે.પરિત: બધી વાત એવી મને મળી છે કે આખા જિલ્લાના પ્રભારી આયોજન આવે તેમાં જિલ્લાના પ્રભારી આવી આયોજન કરતા હોય, આપણે મેંદરડાનો બાકી છે.​અરવિંદ લાડાણી: એ TDO તને રમાડે છે.પરિત: એવું હોય તો વાત કરી લઉં.અરવિંદ લાડાણી: હું આ ઘડી તેને કહી દઉં છું અને તેને કહી દઉં છું કે પરિત કે તેમ કરી દો.પરિત: અરવિંદભાઈ સાંભળો કદાચ આપણે 28 તારીખે, રાખીએ તો, તમને મારી પર ભરોસો નથી એટલે કહો છો ને?અરવિંદ લાડાણી: ના ભરોસાની કોઈ વાત નથી, પરંતુ મારે વટથી ઓલા લોકોનું રાખવું નથી અને TDO તેની દાદાગીરી કરે છે એટલા માટે તેને કીધું છે કે હું નથી ને તમે કેમ મીટિંગ નથી કરી લો છો.પરિત: અરે મેં મીટિંગ નક્કી કરી છે.અરવિંદ લાડાણી: તારી વાત નથી. મારે TDOને દબાવવાનું હાલે છે. એ શું છે તે તને ખબર નથી.પરિત: માર્ચ પેલા પૂરું કરાવી દો ચાલો.અરવિંદ લાડાણી: ના માર્ચ પહેલા નહીં મારી એપ્રિલમાં જ કરાવવું છે. એ તને કહી દઉં એ મારે જોવાનું છે.પરિત: TDO સાથે વાત કરી મને ક્યો પાછું.અરવિંદ લાડાણી: હા હું તેને કહી દઉં છું તારીખ 8, 9 નાખવાની થાય છે. એજન્ડા નવેસરથી કાઢી લો.પરિત: વાત કરી મને કહેજો શું થયું. બીજી વાતચીત ​અરવિંદ લાડાણી: શું થયું ઓલી મીટિંગ ક્યારે રાખી છે બધી?પરિત: મીટિંગ તો 9 તારીખની તમે વાત કરી તી, એટલે 9 તારીખનું રાખ્યું છે.અરવિંદ લાડાણી: 9 કે પહેલાં કંઈક ભેગું થવાની વાત હતી?પરિત: ઈ તો આજે મળ્યા હતા ને. હા, આજે મળ્યા. જનરલ બોર્ડ 9 એ રાખ્યું ને?અરવિંદ લાડાણી: નઈ, આપણે આયોજનની મીટિંગ છે ને ઈ 9 એ, ઈ તો તમે કીધું હતું ને કે 8 એ તો હું ફ્રી નઈ હોઉં એટલે 9 એ બરાબર, અને ઓલી સામાન્ય સભા છે ઈ પરમ દિવસે છે.પરિત: બરાબર.અરવિંદ લાડાણી: હા, અને બીજું બધું બેસીને ગોઠવી લેજો. મેં વિનુભાઈને ઈ વાત કરી છે. વિનુભાઈને રાખજો, બુદ્ધિ એની જ હાલશે કઈ ગ્રાન્ટની ટકાવારીમાં ફાળવણીમાં. તો ગ્રાન્ટો માટે એમાં અલગ વ્યવસ્થા કરી રાખજો ફાળવણીની.પરિત: હા-હા, ઈ તો થઈ ગઈ છે વાત.અરવિંદ લાડાણી: ઈ પૂછજે આને જ, બીજાને એટલી ખબર નઈ પડે. આની પાસે અને ચિરાગ પાસે બેય પાસે ગાઈડલાઈન પૂરેપૂરી હશે.પરિત: હા, અને કાલે પાછું ઓલું શું કહેવાય કંઈક વ્યાજના પૈસા આવ્યા છે 16 લાખ જેવું, અને કંઈક આપણે આ સ્ટેમ્પ ડ્યુટી. હા, સ્ટેમ્પ ડ્યુટી કંઈક 25 લાખ જેવું છે, એટલે વિનુભાઈ મને કહે કે તું જાણીને પછી કહેજે મને. મેં કીધું વાંધો નહીં હાલો હું જાણીને પછી કહું.અરવિંદ લાડાણી: એને પૂછજે ગાઈડલાઈન એની જ હાલશે, એની પાસે બધો અનુભવ છે સમજી ગયો?પરિત: ના ના, ઈ તો પૂછીને કહીશ. એવું કંઈ હશે તો હું તમને કહીશ.અરવિંદ લાડાણી: હા મને કહેજે.પરિત: ભલે હાલો હા. ત્રીજી વાતચીત પરિત: હેલ્લો!અરવિંદ લાડાણી: હા.પરિત: અરવિંદભાઈ, હવે જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈનો ફોન આવ્યો હતો. એ કહે કે બધાએ સાથે રહી અને આયોજન કરો. જિલ્લા પંચાયતના સભ્યો પણ હોવા જોઈએ અને બધું એ રીતે આયોજન કરો.અરવિંદ લાડાણી: જો, એ તો નિયમમાં હોય એ હોય જ. બે જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્ય, પ્રમુખ, ટીડીઓ અને પ્રાંત... આટલાની જ મીટિંગ હોય. પણ મારી ગેરહાજરીમાં હું વાંધો લઉં તો, ધારાસભા ચાલુ હોય એટલે મીટિંગ ન થઈ શકે. એટલે મેં 29 તારીખનું કહ્યું છે. મારે ખેંચ પડશે, હું સવારે 29 મીએ પહોંચી જઈશ કોડવાઈ. સમજી ગયો?પરિત: પણ મારા વતી તમે એટલું મારું સાચવી લો ને તો ખરેખર...અરવિંદ લાડાણી: જો, હું તને કહી દઉં. આયોજન હું તારું રાખીને જ કરીશ, પણ મારું ધાર્યું કરીશ, ઓલાનું (બીજાનું) ધાર્યું નહીં થવા દઉં હવે. હરેશનું ધાર્યું નહીં થવા દઉં. આખી અવ્યવસ્થા ત્યાંથી જ થાય છે.પરિત: અરે, હરેશભાઈની ક્યાં હું વાત જ કરું છું. એને જે કરવું હોય એ કરે, આપણે તો આપણું કેમ સચવાય એ જોવાનું છે ને?અરવિંદ લાડાણી: હા, પણ તને આયોજનમાં ક્યાંય વાંધો નહીં આવે.પરિત: પણ મારી વાત સાંભળો, આ લોકો બધા તમને કહું... દર વખતે 30-35 લાખ રૂપિયા આપે અને ખાલી આ વખતે 20 લાખ રૂપિયા જ આપે, તો એવું આયોજન કેમ કરવું?અરવિંદ લાડાણી: પણ એની વાત જ નથી થઈ, એ તો મારે વાત થઈ ગઈ હોય ને? 35 લાખની વ્યવસ્થા એ થઈ જશે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરિત ઉર્ફે જયકિશન માકડિયા અને માણવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી વાત કરતા હતા. જેમાં TDO દ્વારા ગ્રાન્ટ મામલે સહી કરવાની વાત ચાલુ હતી અને TDO સહી કરતા ન હતા. ઓડિયોમાં TDO પૈસા માગતા હોય તેવી તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યને વાત કરતા હતા. પરિત: હું એવા 10 સરપંચો લાવું કે જેની પાસેથી TDOએ રૂપિયા માગ્યા છે અને ખેડૂતોના ખેતરે જતા રસ્તામાં જ માટી નાખવાની હોય જેમાં TDO 10% રૂપિયા માંગે છે.અરવિંદ લાડાણી: જો બધા સરપંચો ભ્રષ્ટાચાર કરતા હોય તો TDO રૂપિયા માંગે અને એકપણ સરપંચ 100% કામગીરી કરે તો પૈસા ન માંગે. અમુક સરપંચો સામેથી રૂપિયા દેવા જાય છે.પરિત: ઘણા સરપંચોની ક્લિયર કામ કરેલી ફાઈલો પડી હોય અને ચેકમાં સહી કરવાની બાકી હોય છતાં પણ 10-10 દિવસ સુધી ફાઈલોમાં સહી નથી થતી. જે મામલે સરપંચો મને વારંવાર રજૂઆતો કરે છે. શા માટે ફાઈલોમાં સહી કરવામાં આવતી નથી.અરવિંદ લાડાણી: પૈસા માટે TDO ફાઈલમાં સહી ન કરતો હોય. આ મામલે મને કોઈ ફરિયાદ કરવાવાળું તો હોવું જોઇએને.(આ દરમિયાન અચાનક જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ TDOને અપશબ્દો કહી ગાળો ભાંડી હતી.) ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભૂંડી ગાળોની બગડાટી બોલાવી ​પરિત: અરવિંદભાઈ, અત્યારે મેંદરડા તાલુકામાં ઘણું બધું સળગ્યું છે.અરવિંદ લાડાણી: હા, મને ખબર છે જે સળગ્યું છે, હવે તે ફરે તેમ નથી. અને આ TDO સામે લાંચની જે ફરિયાદ થઈ છે ને, તે પણ ખોટું થયું છે.​પરિત: અરવિંદભાઈ, તે સમયે મેં તમને પણ કોલ કર્યો હતો. જ્યારે પ્રોસીડિંગમાં TDO સહી નહોતો કરતો ત્યારે બધા ક્યાં ગયા હતા?(આ સાંભળતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉશ્કેરાઈ જઈને અભદ્ર ભાષા અને ગાળાગાળી શરૂ કરે છે)​પરિત: મારે સાંસ્કૃતિક હોલના કામ મામલે કંઈક ઉકેલ જોઈએ છે, લોકો મને પૂછ્યા રાખે છે.અરવિંદ લાડાણી: લોકો તો પૂછ્યા રાખે, મને પણ બધા મા-બેન સામે ગાળો આપે છે, છતાં પણ અમે સહન કરીએ છીએ. ગામ તો બધું કીધે રાખે, પણ ગામ કહે તેમ બધું ન થાય. લોકોને કહી દેવાનું કે અમારી નવરાશે બધું થશે.​અરવિંદ લાડાણી: જો કોઈ તને પૂછે કે મને પૂછે, તો હું તો ચોખ્ખું કહી દઉં કે નહીં થાય ભાઈ! જે બહુ પાછળ પડે તેને ઠેકીને કહી દેવાનું કે નહીં થાય. લોકો કહે તેમ નાચવાનું ન હોય.​પરિત: અરવિંદભાઈ, મેંદરડામાં કોઈ સારા SO (સેક્શન ઓફિસર) ને મોકલો ને, તો તાલુકાના વિકાસના કામો આગળ વધે.અરવિંદ લાડાણી: ના, હવે વિકાસ ન થાય. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મેંદરડાનો વિકાસ હવે શક્ય જ નથી કારણ કે ત્યાં કોઈ આવવા જ તૈયાર નથી.પરિત: અને ઓલા મગરા નામના કર્મચારીનું શું થયું?અરવિંદ લાડાણી: મગરાની બદલી રોકાવવા માટે અમે પણ બહુ પ્રયાસો કર્યા, પણ અમારું કંઈ ચાલ્યું નહીં.પરિત: ના અરવિંદભાઈ, મેંદરડામાં તો એવી વાત ચાલે છે કે તમે ખુદ ઋષિકેશ પટેલ પાસે ગયા હતા. તમે તમારા લેટરપેડ પર લખીને આપ્યું એટલે જ એ મગરાની બદલી થઈ છે.(આ વાત સાંભળતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પારો છટક્યો હતો અને તેમણે ટેલિફોનિક વાતચીતમાં જ પ્રમુખ સામે બેફામ વાણી-વિલાસ અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.)

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:00 am

'જિંદગીના આ 12 દિવસ નહીં ભુલાય, એક રાત સૂતો નથી':બહેરીનથી પરત ફરેલા સંદીપ પટેલની આપવીતી, કહ્યું- 'મારી નજર સામે બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું, લાગતું નહોતું જીવતો પરત ફરીશ'

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે લાખો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે, ત્યારે વડોદરાના સંદીપ પટેલ કંપનીના કામથી બહેરીન ગયા હતા અને 15 દિવસે પરત ફર્યા છે. સંદીપભાઈ બહેરીનમાં 12 દિવસ રોકાયા હતા અને ત્યાંની ભયાવહતા દિવ્ય ભાસ્કર સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસ હું ક્યારે નહીં ભૂલી શકું. આ 12 દિવસ હું એકપણ રાત ઊંઘી શક્યો નહોતો. જ્યારે પણ ઊંઘવાનો પ્રયત્ન કરૂં ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો ભયાનક અવાજ સંભળાતો અને ઊંઘ ઉડી જતી. મને હતું જ નહીં કે હું જીવતો ભારત પરત આવીશ. મારી કંપનીએ મને પરત લાવવા તમામ પ્રયાસ કર્યા અને ઘરે પરત લાવી, બાકી ભારત સરકારે કોઈ પ્રયાસો કર્યા નહીં. મારી સાંજની ફ્લાઈટ હતી ને સવારે મિસાઈલ હુમલો થયોવડોદરાના સંદીપ પટેલે જણાવ્યું હતું કે, ગત 25 ફેબ્રુઆરીના રોજ હું જ્યાં કામ કરું છું, એ કંપનીના કામ માટે બહેરીન ગયો હતો. મારું કામ 28 ફેબ્રુઆરીએ પૂરું થઈ ગયું હતું અને તે જ દિવસે સાંજે 5:30ની મારી પરત આવવાની ફ્લાઈટ હતી, પરંતુ તે દિવસે સવારે 10:30 વાગ્યાથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા શરૂ થઈ ગયા હતા. બહેરીનમાં અમેરિકાનો નેવી બેઝ હોવાથી ઈરાને ત્યાં મિસાઈલ છોડી હતી, જેના કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું અને મારી સાંજની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી. મારી હોટલથી માત્ર 200 મીટરના અંતરે અમેરિકન નેવી બેઝહું જે હોટલમાં રોકાયો હતો, તેનાથી માત્ર 150થી 200 મીટરના અંતરે જ અમેરિકન નેવી બેઝ હતો. મિસાઈલ હુમલાને કારણે અમારી હોટલની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે હોટલવાળાઓએ અમને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા અને અમે એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં આશરો લીધો હતો. મેં ઇન્ડિયન એમ્બેસીમાં ફોન કર્યો પણ કોઈ પ્રતિસાદ ન મળ્યોમેં 28 ફેબ્રુઆરીથી લઈને 11 માર્ચ સુધી સતત પ્રયત્નો કર્યા હતા. મેં ઈન્ડિયન એમ્બેસીને ફોન કર્યા અને મેઈલ પણ કર્યા પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, ભારત સરકાર કે એમ્બેસી તરફથી મને કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી. તેઓ ફક્ત 'સુરક્ષિત રહો' તેમ કહીને વાત ટાળતા હતા. બહેરીનથી ભારત આવવા માટે સરકારે કોઈ ફ્લાઈટની વ્યવસ્થા કરી નહોતી. 'મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો'આ મુશ્કેલીના સમયમાં મારી કંપની અને મારા મેનેજરોએ મને ખૂબ સપોર્ટ કર્યો. તેમણે જોખમ ઉઠાવીને મને બહેરીનથી સઉદી અરેબિયા બાય રોડ મોકલ્યો. પહેલા હું સાઉદી અરેબિયાના દમ્મામ પહોંચ્યો અને પછી જેદ્દાહ પહોંચ્યો હતો. જેદ્દાહમાં પણ ફ્લાઈટ હાઉસફૂલ હોવાથી મારે 3 દિવસ હોટલમાં રોકાવું પડ્યું. અંતે જેદ્દાહથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ અને હવે હું વડોદરા મારા ઘરે પહોંચ્યો છું. '12 દિવસ હું એક પણ રાત ઊંઘી શક્યો નથી'તેઓએ વેદના સાથે કહ્યું કે, મારી જિંદગીના આ 12 દિવસને હું ક્યારેય નહીં ભૂલી શકું. આ 12 દિવસ દરમિયાન હું એક પણ રાત ઊંઘી શક્યો નથી. જ્યારે ઊંઘવાનો પ્રયત્ન કરું, ત્યારે જ મિસાઈલોના ઇન્ટરસેપ્ટ થવાનો એટલો ભયાનક અવાજ આવે કે ઊંઘ ઉડી જાય. ત્યાં ડરનું વાતાવરણ એટલું બધું હતું કે લોકો હોટલ અને એપાર્ટમેન્ટ્સ છોડીને બહાર નીકળી જતા હતા. અમે પણ હોટેલ છોડીને ભાગ્યા હતા. ઈરાન ડ્રોન દ્વારા હોટલ અને એપાર્ટમેન્ટ્સને ટાર્ગેટ કરતા હતા. 'મારી નજર સામે એક બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું'મેં મારી નજર સામે જોયું છે કે મારી હોટલથી માત્ર 50-60 મીટર દૂર આવેલી એક બિલ્ડિંગના ઉપરના માળે ડ્રોન પડ્યું અને આખેઆખો ફ્લોર ખતમ થઈ ગયો હતો. તેઓ ખાસ કરીને ઇઝરાયેલ અને અમેરિકાના નાગરિકો જ્યાં રોકાયા હોય, તે સ્થળને ટાર્ગેટ કરતા હતા, પણ એમાં નિર્દોષ ઇન્ડિયન, પાકિસ્તાની, નેપાલી અને બંગાળી ભાઈઓ પણ ભોગ બનતા હતા. 'મનમાં એક જ વિચાર આવતો જીવતો ભારત પાછો નહીં જઈ શકાય'મેં મારી નજર સામે લગભગ 70થી 80 મિસાઈલો અને 20થી 25 ડ્રોન જોયા હતા. મિસાઈલોને ઘણીવાર હવામાં જ તોડી પાડવામાં આવતી, પણ ડ્રોન મોટાભાગે બિલ્ડિંગો પર જઈને ફૂટતા હતા. એક હોટલ પર પણ હુમલો થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું. મનમાં એક જ વિચાર આવતો કે કદાચ હવે જીવતા ભારત પાછા નહીં જઈ શકાય. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગમે ત્યારે ગમે તે થઈ શકતું હતું. 'વડોદરાના સાંસદને અમે વિગતો મોકલી પણ મદદના નામે શૂન્ય'અમે ઇન્ડિયન એમ્બેસીનો વારંવાર સંપર્ક કર્યો, પણ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળતો નહોતો. વડોદરાના સાંસદને પણ અમે વિઝા અને પાસપોર્ટની વિગતો મોકલી હતી, પણ મદદના નામે શૂન્ય હતું. બહેરીનમાં એક વાત સારી હતી કે, આવી પરિસ્થિતિમાં પણ ખાવા-પીવાની કોઈ તકલીફ નહોતી પડી. ગ્રોસરી અને પાણીની બોટલો અમે ઓનલાઇન ઓર્ડર કરતા અને તેઓ ઘરે આવીને સપ્લાય કરી જતા. કોઈએ ભાવ વધારો પણ કર્યો નહોતો, જે ઘણી રાહતની વાત હતી. 'અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા'બહેરીનમાં લગભગ 4 લાખ ભારતીયો છે, જેમાંથી અંદાજે 30% ગુજરાતીઓ છે. મોટાભાગના લોકો રિફાઈનરીઓમાં કામ કરે છે. તેઓ પાછા આવવા માંગે છે, પણ અત્યારે ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ વધી ગયા છે. એક ટિકિટ 280 દિનાર (લગભગ 60,000 રૂપિયા)ની મળે છે. જો 4 સભ્યોનો પરિવાર હોય, તો 3 લાખ રૂપિયા તો ફક્ત ટિકિટમાં જ જતા રહે. આટલા પૈસા લાવવા ક્યાંથી? એ મુખ્ય પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:00 am

ખાખીધારી બન્યા ‘શતરંજના બાદશાહ’:અમદાવાદ ભાજપના લિસ્ટમાં કોણે ખેલ પાડ્યો?; પાટણ જઈ જગદીશ પંચાલ કિરીટ પટેલના વખાણ કરી આવ્યા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:00 am

25 વર્ષની ડ્રામા આર્ટિસ્ટ પ્રાચીની બીજા દિવસે સવારે લાશ મળી:ગળા પર ટૂંપો અને મોં પર ઉઝરડાના નિશાન હતા, 17 લોકોના ગ્રુપે ખંભાતમાં કરેલો શો છેલ્લો બની ગયો

તેની ઉંમર ફક્ત 25 વર્ષની હતી.... તેની આંખમાં હજારો સપનાં હતા અને મનમાં જિંદગીને જીવવાની આશા હતી. નામ તેનું પ્રાચી હતું. 25 એપ્રિલ, 2019ની સવારે આખા વડોદરાને હચમચાવી મૂક્યું હતું કેમ કે એ સવારે ત્યાંના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પાસેથી ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યની લાશ મળી હતી. તેની હત્યા બીજા કોઇએ નહીં પણ પૂર્વ પ્રેમીએ જ કરી હતી. પહેલાં પ્રેમ અને પછી થયેલું બ્રેકઅપ પ્રાચીની જિંદગીમાં એવા ઝંઝાવાત લઇને આવ્યા જે તેને મોત સુધી દોરી ગયા. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો ખળભળાટ મચાવનારા પ્રાચી મૌર્ય હત્યા કેસ વિશે. યશોદાબેન મૌર્ય વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલા ઓર્ચિડ બંગ્લોઝમાં 44 નંબરના બંગલામાં રહેતા હતા. તેમના પરિવારમાં બે દીકરીઓ પ્રાચી અને સચી હતી. પ્રાચીની ઉંમર 25 વર્ષ જ્યારે સચીની ઉંમર 20 વર્ષની હતી. પ્રાચીએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે પર્સનલ ટ્યૂશન કરાવતી હતી. એન્જિનિયરિંગ કર્યા પછી તે કંઇક નવું કરવા માગતી હતી. છેલ્લા એકાદ વર્ષથી પ્રાચીએ કોઇ સારી નોકરીની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન તેને સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે અલકાપુરીમાં આવેલા એપ્લોઝ સ્ટુડિયોમાં ડ્રામા માટે છોકરા-છોકરીઓને લેવાના છે. જેથી તેણે એપ્લોઝ સ્ટુડિયોનો સંપર્ક કર્યો હતો. અપ્સરા આયંગર સ્ટુડિયોના સંચાલક હતા. પ્રાચીએ તેમની સાથે વાત કરી અને સ્ટુડિયોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું. તારીખઃ 24 એપ્રિલ, 2019 પ્રાચીએ અહીં કામ શરૂ કર્યાને હજુ તો પંદરેક દિવસ માંડ થયા હશે ત્યાં એપ્લોઝ સ્ટુડિયોએ ખંભાતમાં ડ્રામાનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેથી પ્રાચી સહિત 17 સભ્યોના એક ગ્રુપે ત્યાં જવાનું હતું. વડોદરાથી ખંભાતનું અંતર અંદાજે 80 કિલોમીટર જેટલું છે. શોનો સમય તો રાત્રે 9થી 11 વાગ્યા સુધીનો હતો પણ શો પહેલાં રિહર્સલ કરવાનું હોવાથી ગ્રુપે થોડું વહેલું પહોંચવાનું નક્કી કર્યું હતું. બપોરે 2:30 વાગ્યા આસપાસ પ્રાચી એપ્લોઝ સ્ટુડિયો જવા માટે પોતાના ઘરેથી 2 મોબાઇલ, મેકઅપનો સામાન, કપડાંની બેગ અને એક્ટિવા લઇને નીકળી હતી. જતાં-જતાં તેણે મમ્મીને કહ્યું કે, આજે અમારે ખંભાતમાં પ્રોગ્રામ છે એટલે રાત્રે ઘરે આવતાં મોડું થશે. સ્ટુડિયો પર પહોંચ્યા બાદ પ્રાચી પોતાના ગ્રુપના અંકિત શર્મા, વસ્તલ ધમાણી, આરોહી, અર્ચના, આત્મન સહિતના સભ્યો સાથે ખંભાત જવા માટે ટેમ્પો ટ્રાવેલર્સમાં નીકળી હતી. ખંભાત પહોંચ્યા બાદ પ્રાચી અને તેના ગ્રુપે તરત જ રિહર્સલ કર્યું. રાત્રે 9 વાગતાં જ તેમનો શો શરૂ થયો હતો. દરેક આર્ટિસ્ટે પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું. હાજર રહેલા પ્રેક્ષકોની તાળીઓનો ગડગડાટ એ વાતનો પુરાવો હતો કે આ શો કેટલો સક્સેસ રહ્યો હતો. આ ડ્રામાનું નામ સ્પીચલેસ હતું પણ પ્રાચી સાથે જે ઘટના બનવાની હતી તે પણ જાણે કે આખા વડોદરાને એ દિવસે સ્પીચલેસ કરી દેવાની હતી. પ્રેક્ષકોના પ્રતિસાદથી ફક્ત પ્રાચી જ નહીં પણ આખા ગ્રુપના સભ્યોમાં એક અલગ પ્રકારનો આનંદ હતો. બધાના મનમાં શો સફળ રહ્યાનો સંતોષ પણ હતો. સામાન્ય રીતે જ્યારે આવા કોઇ શો થતાં હોય છે ત્યારે આર્ટિસ્ટ શો પહેલાં જમવાનું કે ભારે નાસ્તો કરવાનું ટાળતા હોય છે. શો પૂરો થયા બાદ જ જમે છે. આ ગ્રુપે પણ આવું જ કર્યું હતું. તેમણે શો પૂરો થયા બાદ સાથે મળીને ડિનર કર્યું હતું. જેના પછી પ્રાચીએ મમ્મી યશોદાબેનને ફોન કર્યો હતો. પ્રાચીઃ હેલ્લો.... મમ્મીયશોદાબેનઃ હા, બોલ બેટા.પ્રાચીઃ મમ્મી, અહીં અમારો શો પૂરો થઇ ગયો છે.યશોદાબેનઃ અચ્છા, કેવો રહ્યો તારો શો?પ્રાચીઃ મમ્મી, ખૂબ સારો રહ્યો.યશોદાબેનઃ સારૂંપ્રાચીઃ મમ્મી, હવે અમે લોકો અહીંથી વડોદરા આવવા નીકળીએ છીએ.યશોદાબેનઃ હા, ધ્યાન રાખીને આવજે હો બેટા.પ્રાચીઃ હા, મમ્મી દીકરીના અવાજમાં જે ખુશી હોય તે કોઇ માતાથી કેવી રીતે છૂપી રહી શકે? યશોદાબેનને પ્રાચીની ખુશીનો અંદાજો આવી ગયો. તે મનોમન વિચારવા લાગ્યા કે મારી દીકરી આગળ વધી રહી છે અને સફળ થઇ રહી છે પણ કોઇને ખબર નહોતી કે યશોદાબેન અને પ્રાચી વચ્ચેની આ વાતચીત અંતિમ વાતચીત બની રહેવાની હતી. મમ્મી સાથે વાત કર્યા બાદ પ્રાચીએ કોલ કટ કર્યો અને ગ્રુપના સાથીઓ સાથે વડોદરા આવવા નીકળી હતી. આ સમયે ઘડિયાળનો કાંટો રાતના 12:20 વાગ્યાનો સમય બતાવતો હતો અને કેલેન્ડરમાં તારીખ ફરીને 25 એપ્રિલ થઇ ગઇ હતી. રાત્રે અંદાજે 1:30 વાગ્યા આસપાસ પ્રાચી અને તેનું ગ્રુપ એપ્લોઝ સ્ટુડિયો પહોંચી ગયા હતા. અહીંથી સૌએ છૂટા પડીને પોતાના ઘરે જવાનું હતું. ગ્રુપની 2 યુવતીઓને લેવા માટે તેના માતા-પિતા આવેલા હતા. જ્યારે પ્રાચી સહિતની બાકીની યુવતીઓએ પોતાની રીતે ઘરે પહોંચવાનું હતું. મોડી રાત થઇ ગઇ હતી એટલે ગ્રુપમાં જે-જે યુવાનો હતા તેમણે છોકરીઓને સુરક્ષિત રીતે ઘર સુધી મૂકવા જવાનું નક્કી કર્યું હતું. અંકિત પોતાની બાઇક પર અને પ્રાચી પોતાની એક્ટિવા પર સ્ટુડિયોથી ઘરે જવા નીકળ્યા હતા પણ પ્રાચી પોતાના ઘરે પહોંચી ન શકી. રસ્તામાં તેમની સાથે કંઇક એવું બન્યું કે જે માની શકાય તેવું નહોતું. એવું તો શું બની ગયું તેનો ખુલાસો પછીથી થશે. તારીખઃ 25 એપ્રિલ, 2019સમયઃ સમય સવારે 8 વાગ્યાનો. આ સમયે એકસાથે 3 ઘટનાઓ આકાર લઇ રહી હતી. પહેલી ઘટના અંકિત શર્માને એપ્લોઝ સ્ટુડિયોના સંચાલક અપ્સરા અયંગરનો કોલ આવ્યો. બીજી ઘટના પ્રાચીના ઘરે એક અમંગળ સમાચાર આવ્યા અને ત્રીજી ઘટના એક રાહદારીએ વડોદરા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને એક લાશ વિશે માહિતી આપી. વાત પહેલી ઘટનાની.અંકિત શરણમ ફ્લેટમાં આવેલા પોતાના ઘરે સૂતો હતો ત્યારે અપ્સરા અયંગરનો તેને ફોન આવ્યો હતો. અપ્સરાએ તેને પૂછ્યું કે, અંકિત, પ્રાચી મળતી નથી. તે છેલ્લે તેને ક્યાં છોડી હતી. અપ્સરાના અવાજમાં ગભરાટ અને ચિંતા સ્પષ્ટ વર્તાતા હતા. તેણે પૂછેલા આ સવાલથી અંકિત પણ ચોંક્યો. અંકિતે તેને કહ્યું કે, મેડમ, મેં છેલ્લે તેને રિલાયન્સવાળી ગલીમાં છોડી હતી. આના પછી અપ્સરાએ ફોન તો કટ કર્યો પણ અંકિતની ચિંતા વધી ગઇ હતી. તેણે પોતે જ પ્રાચીને ફોન લગાવ્યો. એક-બે વાર કોલ કર્યો પણ લાગ્યો નહીં. જેથી તે પોતાની બાઇક લઇને પ્રાચીને જ્યાં છેલ્લે છોડી હતી ત્યાં જવા નીકળ્યો હતો. હવે વાત બીજી ઘટનાની.પ્રાચીના મમ્મી યશોદાબેન પોતાના ઘરમાં હતા. એ જ સમયે તેમનો ડોર બેલ રણકી ઉઠ્યો. યશોદાબેને જેવો દરવાજો ખોલ્યો તો સામે એક અજાણ્યો ચહેરો ઊભો હતો. તેણે યશોદાબેનને કહ્યું કે નંદ સોસાયટીના મકાન નં-4ના કમ્પાઉન્ડની દીવાલ અને તેની પાસે આવેલા સપ્તપર્ણીના ઝાડની વચ્ચે એક યુવતીની લાશ પડેલી હતી. તેની બાજુમાં એક એક્ટિવા પણ પડેલુ છે. જે તમારૂં છે. આ વાત સાંભળીને જાણે કે યશોદાબેનના હોંશ ઊડી ગયા. યશોદાબેન પુત્રી સચી સાથે હાંફળાફાંફળા થતાં નંદ સોસાયટી જવા માટે નીકળ્યા. ત્રીજી ઘટનામારૂતિરાવ ચૌરંગે નામની એક વ્યક્તિએ સવારના પહોરમાં ઝાડ પાસે પડેલી લાશ જોઇ. તેણે તરત પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન લગાવ્યો. ફોન પર ASI નરવતસિંહ પરમાર હતા. મારૂતિરાવે તેમને યુવતીની લાશ વિશે જાણ કરી. આ વિસ્તાર જે.પી.રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો એટલે ASIએ માહિતીની નોંધ કરીને જે.પી.રોડ પોલીસ સ્ટેશનના PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) રમેશ રોહિતને જાણ કરી. રમેશભાઇએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને તરત જ PI એન.એચ.બ્રહ્મભટ્ટને ફોન લગાવ્યો અને માહિતી આપી. સવારનો સમય હતો અને ત્યાં જ આવા સમાચાર મળતાં PI બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા. થોડી જ વારમાં યશોદાબેન અને સચી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં જોયું તો પ્રાચીનો નિશ્ચેતન દેહ ઝાડ પાસે નીચે પડેલો હતો. તેના મોંઢામાંથી લોહી નીકળીને જમણા ગાલ પર સૂકાઇ ગયું હતું. ડાબા ગાલ પર છોલાઇ ગયા જેવું નિશાન હતું. જડબા નીચે, જમણી આંખ પાસે અને ગળાના પાછળના ભાગે ઘસરકા હતા. પ્રાચીના ગળા પર ટૂંપો અપાયાના નિશાન પણ હતા. નજીકમાં જ પ્રાચીનું એક્ટિવા, મેકઅપનો સામાન અને કપડાં ભરેલી બેગ પડી હતી પણ તેના બન્ને મોબાઇલ ફોન અને એક્ટિવાની ચાવી ગુમ હતા. આ બધી સ્થિતિ અને સંજોગો એ વાતનો ઇશારો કરી રહ્યા હતા કે કોઇએ પ્રાચીની હત્યા કરી છે. લૂંટના ઇરાદે આ હત્યા થઇ હોવાનું લાગતું નહોતું કેમ કે પ્રાચીનું એક્ટિવા અને સામાનની બેગ ત્યાં જ પડ્યા હતા. પ્રાચીની લાશ જોતાં જ યશોદાબેન અને સચી પર જાણે કે આભ તૂટી પડ્યું. બન્ને ત્યાં પોક મૂકીને રડવા લાગ્યા. તેમના રડવાથી વાતાવરણ ગમગીન બની ગયું. હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. અંદાજે નવેક વાગ્યામાં અંકિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સમયે ત્યાં અપ્સરા અયંગર, પ્રાચીના મમ્મી-બહેન, પોલીસ અને લોકોના ટોળાં હતા. પોલીસને ખબર પડી કે પ્રાચી છેલ્લે અંકિત સાથે હતી એટલે પોલીસે તેની પૂછપરછ કરી. અંકિતે એવા રહસ્યો ખોલ્યા કે જેણે પોલીસને પ્રાચીના હત્યારા સુધી પહોંચાડી દીધી. અંકિત પ્રાચીની સાથે હતો તો પછી પ્રાચીની હત્યા કેવી રીતે થઇ?પ્રાચીની હત્યા કોણે અને શા માટે કરી હતી?પ્રાચીનો શું ગુનો હતો?આ તમામ સવાલોના જવાબ મળશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 6:00 am

કોંગ્રેસે પાલિકાની ચૂંટણીને લઇ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી:કોંગ્રેસના 149 કાર્યકરોએ દાવેદારી નોંધાવી,13 નવા ચહેરા જોવા મળ્યા

શહેર કોંગ્રેસે આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે 1થી 10 વોર્ડના કુલ 149 દાવેદારોએ પોતાના બાયોડેટા સબમીટ કર્યા હતા. જેમાં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જે માટે શહેર ભાજપ દ્વારા બોર્ડ સંગઠન અને અલગ અલગ મોરચાઓના નામની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે 19 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ તથા વડોદરાના પ્રભારી નીરવ બક્ષીએ સોમવાર સવારથી દાંડિયા બજાર ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં શરૂઆતના 10 વોર્ડના દાવેદારી કરવા ઇચ્છતા કાર્યકરો પ્રભારીઓને મળ્યા હતા અને પોતાનો બાયોડેટા સબમીટ કર્યો હતો. જેમાં સૌથી વધુ વોર્ડ 1ની ચાર બેઠકો માટે 27 દાવેદારોએ દાવેદારી કરી છે. એક અંદાજ મુજબ 1થી 10 વોર્ડમાં 149 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. 17 માર્ચ, મંગળવારે 11થી 19 વોર્ડના કાર્યકરોએ દાવેદારી કરશે. કોંગ્રેસે પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી કોંગ્રેસના અભિયાનથી પ્રભાવિત 13 નવા ચહેરાઓએ બાયોડેટા આપ્યા, આજે વધુ કાર્યકરો જોડાઈ શકે છેકોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો પાર્ટીમાં જોડાઈ અને જો કક્ષામાં હોય તો તેમને ઉમેદવાર બનાવવા માટેની તૈયારી બતાવી છે. ત્યારે સોમવારે સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 1, 2, 3, 6, 8 અને 10માં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ મંગળવારે વધુ નવા કાર્યકરો જોડાઈ દાવેદારી કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:58 am

લીઝમાં દરોડો પાડતાં ખનીજ માફિયા ભૂગર્ભમાં ઊતરી ગયા:કરજણના ઓજમાંથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા 4 મશીન જપ્ત કરાયાં

કરજણ તાલુકાના ઓજ ગામમાંથી પસાર થતી નર્મદા નદીમાં ફળવાયેલી લીઝ ખાતે ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોવડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા બાદ ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. જ્યારે ટીમે સ્થળ પરથી 4 મશીનો કબજે કર્યાં હતાં. નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે રેતીનું ખનન કરાતું હોવાની બાતમી મળી હતી. ફ્લાઈંગ સ્કોવડ દ્વારા દરોડો પાડતા જ ખનીજ માફિયાઓ સતર્ક થઈ ગયા છે. ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોડ ડ્રોનથી પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. 2025માં રાજ્યમાં 195 વાહનો જપ્ત કર્યાં હતાં

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:57 am

4 ગઠિયાઓએ ઘરે સફાઈ કરવાના બહાને કરી ઠગાઈ:વૃદ્ધ દંપતીએ જાહેરાત જોઈને સફાઈ કરવા 4 જણાને બોલાવ્યા,ડોલર સહિત 4 લાખની સાફસૂફી કરી ગયા

જેતલપુર ખાતે રહેતા વૃદ્ધ દંપતીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ઘરની સાફસફાઈ કરવા ચાર જણાને બોલાવ્યા હતા. જોકે સાફ-સફાઈ કરવાની સાથે ગઠિયાઓ દંપતીના ઘરેથી 3800 ડોલર સહિત રૂ.4 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અકોટા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જેતલપુર શ્રીધર ફ્લેટમાં રહેતા 76 વર્ષીય હરીશભાઈ ચીમનલાલ કોઠારી હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના ઘરે સાફ સફાઈ કરાવવાની હતી. ત્યારે નવેમ્બર મહિનામાં તેમને સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને હાર્દિક ક્લિનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો. સામેથી રૂ.5 હજારમાં સફાઈ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 4 જણા હરીશભાઈના ઘરે સાફસફાઈ કરવા પહોંચ્યા હતા. 4 જણાએ કામ પૂર્ણ કરી રૂપિયા માંગ્યા હતા. જેથી હરીશભાઈ તિજોરીમાંથી રૂપિયા લેવા ગયા હતા, જોકે ત્યાં તેમને લોકર તૂટેલું જણાયું હતું. જોકે ત્યારબાદ ચારેય ફરાર થઈ ગયા હતા. તેઓ તિજોરમાંથી 100ની નોટનાં બંદલ, 3800 અમેરિકન ડોલર(રૂ.3.50 લાખ) તથા રૂ.50 હજાર રોકડા સહિત રૂ.4 લાખની ચોરી કરી ગયા હતા. વૃદ્ધ દંપતીએ હાર્દિક ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કરતાં 4 ગઠિયા ઘરે સફાઈ કરવા પહોંચ્યા હતા ભાસ્કર ફર્સ્ટ પર્સનસ્ક્રૂ ડ્રાઈવર વડે લોકર તોડી ચોરી કરી, અમે અંદર ન જઈ શકીએ એટલે દરવાજા પર જ સામાન મૂકી રાખ્યોહું અને મારી પત્ની સોફા પર બેઠા હતા, ચારેય જણાએ બીજા રૂમના દરવાજા પાસે જ ઘણો સામાન મૂકી દીધો હતો, જેથી અમે અંદર ન જઈ શકીએ. તેમને સ્ક્રૂ ડ્રાઈવર વડે લોકર તોડીને ડોલર, સહિતની ચોરી કરી હતી. ત્યારબાદ તેઓ એક બાદ એક ત્રણ જણા કોઈ કામ આવ્યું છે, તેમ કહીને નીકળી ગયા હતા. જોકે એકને કદાચ જાણ નહોતી કે, ત્રણે ચોરી કરી છે. તે વ્યક્તિ રૂપિયા લેવા ઉભો થઈ રહ્યો હતો. હું અંદર રૂમમાં જતા બીજા લોકોએ રૂપિયા લેવા ઉભેલી વ્યક્તિને બોલાવી લીધી હતી અને તેઓ ચારેય ભાગી ગયા હતા. (હરીશભાઈ કોઠારી સાથે થયેલી વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:56 am

બોર્ડની પરીક્ષા:ધો.12 સાયન્સના જીવ વિજ્ઞાનમાં કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાયા

ધો.10-12ની બોર્ડ પરીક્ષા પૂરી થવાના આરે છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સોમવારે પૂરી થઇ હતી. વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા પેપર જીવવિજ્ઞાનમાં અમુક પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછયા, જ્યારે કેટલાક પ્રશ્નો ધારણાથી વિપરીત પૂછાયા હતા. મંગળવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટના પેપર સાથે પરીક્ષા પૂર્ણ થઇ જશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષામાં 3422 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3393 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 29 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.10માં સંસ્કૃત વિષયમાં 2074 વિદ્યાર્થીઓમાંથી 2041એ પરીક્ષા આપી હતી. જ્યારે 33 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ભાસ્કર એક્સપર્ટસેક્શન-બી અને સીમાં આકૃતિ આધારિત પ્રશ્નોના વર્ણનને વિશેષ મહત્ત્વ પણ અપાયુંપાર્ટ-એમાં એમસીક્યુમાં મોટાભાગના એનસીઇઆરટીના લાઈન ટુ લાઈન પ્રશ્નો હતા, સાથે ગણતરી અને આકૃતિ આધારિત પણ પ્રશ્નો હતા. જે કદાચ વિદ્યાર્થીઓને થોડાક અઘરા લાગી શકે. એમસીક્યુમાં આંકડા આધારિત પ્રશ્નો પણ પૂછાયા હતા. જ્યારે પાર્ટ બીમાં સેક્શન-એમાં અમુક પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછેલા હતા અને થોડાક પ્રશ્નો ધારણાથી વિપરીત પૂછાયેલા હતા કે, જે આખા પેરેગ્રાફમાંથી નાના પ્રશ્ન બનાવી અને 2 માર્કમાં પૂછેલા હતા. સેક્શન બી અને સીમાં આકૃતિ આધારિત પ્રશ્નોના વર્ણનને મહત્ત્વ અપાયું હતું. - જૈમિની શાહ, વિષય નિષ્ણાત જીવ વિજ્ઞાન

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:53 am

કમ્પ્યૂટર સેન્ટરમાં વધુ 50ની કર્મીઓની જરૂર:MSUના કમ્પ્યૂટર સેન્ટરમાં સ્ટાફના અભાવે કામનું ભારણ વધતાં ડાયરેક્ટરનું રાજીનામું

મ.સ. યુનિવર્સિટીના કમ્પ્યૂટર વિભાગના ડાયરેક્ટરે રાજીનામું આપી દીધું છે. તેમણે ગત નવેમ્બરથી કર્મચારીઓ માગ્યા હોવા છતાં મળતા ન હોવાથી રાજીનામું આપ્યું હોવાની અટકળો છે. કમ્પ્યૂટર સેન્ટરમાં વધી રહેલા વર્કલોડ વચ્ચે કર્મચારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષાથી પરિણામ સુધીની કામગીરી કમ્પ્યૂટર સેન્ટર કરે છે. મ.સ. યુનિવર્સિટીનું સમગ્ર સંચાલન કમ્પ્યૂટર સેન્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ લે ત્યારે થતી એડમિશન પ્રક્રિયાથી લઇને તેના પરિણામ સુધીની કામગીરી કમ્પ્યૂટર સેન્ટર દ્વારા કરવામાં આવતી હોય છે. કમ્પ્યૂટર સેન્ટરના ડાયરેક્ટર અપૂર્વ શાહે રાજીનામું આપી દીધું છે. કમ્પ્યૂટર સેન્ટરમાં વર્કલોડ વધી ગયો છે. અત્યારે 25 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જ્યારે 50થી વધારે કર્મચારીની જરૂર છે. કમ્પ્યૂટર સેન્ટરમાં કર્મચારીઓની ભરતી કરવા ગત નવેમ્બરથી માગ કરાઈ રહી છે. જોકે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ભરતી ન કરાતાં સિસ્ટમ પડી ભાગી છે અને કર્મચારીઓનો વર્કલોડ વધી રહ્યો છે. કમ્પ્યૂટર સેન્ટર દ્વારા અધ્યાપકોના ઓર્ડરથી લઇને તેમના રેમ્યુનરેશનની પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે. સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટિકિટ પણ જનરેટ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પોર્ટલની કામગીરી પણ કમ્પ્યૂટર સેન્ટરના હસ્તક છે. કર્મચારીઓના અભાવને કારણે કંટાળીને ડાયરેક્ટરે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે આ અંગે પૂછતાં તેમણે કોઇ પણ પ્રતિક્રિયા આપી નહોતી. પ્રવેશથી લઈ પગાર સુધીની કામગીરી કરાય છે ભાસ્કર ઇનસાઇડકમ્પ્યૂટર સેન્ટરમાં હાલ 20 હંગામી, 5 કાયમી કર્મચારીઓ, 2019થી પગાર વધારાયો નથીકમ્પ્યૂટર સેન્ટરમાં 25 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેમાંથી 20 કર્મચારીઓ હંગામી છે, જ્યારે 5 કાયમી છે. 2019થી કમ્પ્યૂટર સેન્ટરના કર્મચારીઓનો પગાર વધારો કરાયો નથી. 25 થી 30 હજાર વચ્ચે હંગામી કર્મચારીઓને પગાર મળી રહ્યો છે. જેથી અનેક કર્મચારીઓ કમ્પ્યૂટર સેન્ટર છોડી જઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:52 am

ગોત્રીમાં સંત પ્રેમવત્સલદાસજી દ્વારા સત્સંગ સભા:સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે ફોનના દર્શન કરવાથી તણાવ વધ્યો

સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા ગોત્રી વિસ્તારમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેમાંં અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન ઉપર સંતો-હરિભક્તો દ્વારા પુષ્પોથી અભિષેક કરાયો હતો. ત્યારબાદ કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી સ્ટ્રેસ મેનજમેન્ટ ઉપર અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સત્સંગ સુખદાયી વિષય ઉપર પ્રેરણાદાયી પ્રવચન કર્યા હતા. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવના કારણે દર વર્ષે વિશ્વમાં 2 કરોડ માણસો આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જેમ દિવસ અને રાત્રી વારાફરતી આવ્યા જ કરે છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ વારાફરતી આવ્યા જ કરે છે. દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં ઘણા માણસો દુઃખી હોય છે, તેથી તેમને ટેન્શન રહેતું હોય છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડિસીન નહીં, મેડિટેશનની જરૂર છે. આજે માણસ સવારે ઉઠીને તરત અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે, તેના કારણે માનસિક તણાવ વધે છે. એના બદલે ભગવાનનાં દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:49 am

ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જળ સંરક્ષણ અભિયાનની શરૂઆત:સુભાનપુરામાં બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત, શહેરમાં 71 સ્થળે કામગીરી થશે

ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિન નિમિત્તે વિશેષ જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં દરેક વિધાનસભા દીઠ 71 રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવાઈ છે. ડૉ. વિજય શાહ દ્વારા આ અભિયાન જન ભાગીદારીથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ઘર તથા ખાનગી એપાર્ટમેન્ટમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરીને વરસાદી પાણીનું સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસદથી તથા ધારાસભ્યોની ગ્રાન્ટ તથા વડોદરા મનપા દ્વારા 10 કરોડના ખર્ચે જાહેર સ્થળોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરાશે. સોમવારે સુભાનપુરામાં નવીનસિંહ જેતાવતના નિવાસસ્થાને બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરી વરસાદી પાણીના સંચયની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્દુ ફાઉન્ડેશન વડોદરા શહેરના નાગરિકોને પણ આ જળ સંરક્ષણ અભિયાનમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. જેનો ખર્ચ પેટે 50 ટકા-50 ટકા જન ભાગીદારી થકી કોઈપણ વ્યક્તિને પોતાના ઘર કે ખાનગી મિલકતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:48 am

જટીલ સર્જરીથી બાળકને અપાયું નવજીવન:એસએસજીમાં 2 દિવસના બાળકની સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળી અલગ કરાઈ

સયાજી હૉસ્પિટલના બાળ રોગ વિભાગમાં 2 દિવસના બાળકની જટીલ સર્જરી કરાઈ હતી. બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હતી. સર્જરી બાદ બંને નળી અલગ કરાઈ હતી.બાળકને 24 દિવસ એનઆઈસીયુમાં રાખી સઘન સારવાર કરાઈ હતી. હાલમાં બાળક માતાનું ધાવણ લઈ શકે છે અને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગોધરાની 24 વર્ષીય મહિલાની પ્રસૂતિ બાદ બાળકને ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા નામની ગંભીર બીમારી હોવાનું જણાયું હતું. જેમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે. જેથી તે દૂધ પીએ તે અન્નનળીને બદલે શ્વાસનળીથી ફેફસામાં જવાની શક્યતા રહે છે, જે શિશુ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકની સ્થિતિની ગંભીરતા જોતાં જન્મના 11 કલાકમાં જ તેને ગોધરાથી સયાજી હૉસ્પિટલના બાળરોગ વિભાગમાં ખસેડાયું હતું. બાળક દાખલ થયું તેના બીજા દિવસે તબીબોએ સર્જરી કરી હતી, તે પછી બાળકને 10 દિવસ મિકેનિકલ વેન્ટિલેટર પર રખાયું હતું. ખાનગી હૉસ્પિટલમાં સારવારનો રોજનો 25 હજારનો ખર્ચખાનગી હૉસ્પિટલમાં આવી સારવારનો પ્રતિદિન ખર્ચ 20 થી 25 હજાર જેટલો થતો હોય છે, જ્યારે સર્જરીનો ખર્ચ અલગ થાય છે. જોકે, સયાજી હૉસ્પિટલમાં આ તમામ જટિલ સર્જરી અને 24 દિવસની સઘન સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં બાળકની માતાને પણ રહેવા-જમવાની પૂરતી સવલતો હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:46 am

સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ:વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડરનું બારોબાર વેચાણ, દંડ માટે નોટિસ ફટકારાઈ

ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અટકાવવા પુરવઠા વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસના અધિકારીઓની ટીમ ખાનગી અને સરકારી ગેસ એજન્સી પર દરોડા પાડી રહી છે. સોમવારે વાઘોડિયા રોડની ગાયત્રી ગેસ એજન્સી દ્વારા ગોડાઉનમાંથી સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ કરાતું હોવાનું ટીમે પકડી પાડ્યું છે. નોંધનીય છે કે, ગેસના પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 જાહેર કરાયો છે. પુરવઠા વિભાગ સહિતની સંયુક્ત ટીમે બાતમીના આધારે ગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉન ખાતે પહોંચતાં ત્યાં લોકોને હાથોહાથ સિલિન્ડર અપાતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પુરવઠા વિભાગે એજન્સીને દંડ ફટકારવાની નોટિસ આપી છે. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીને પણ નોટિસ અપાઈ છે. બીજી તરફ જિલ્લા તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, સિલિન્ડર બુક કર્યા બાદ ઘરે બેઠાં જ ડિલિવરી મળશે. કોઈ ગ્રાહકોએ ગોડાઉન ખાતે જવું નહી. ગેસ લાઇન ધરાવતા 100 લોકોએ પોતાના સિલિન્ડર સરન્ડર કરાવ્યાંઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યા મુજબ એલપીજીના ઘરેલુ અને કોમર્શિયલ વપરાશકર્તાને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાય છે. જે લોકો પીએનજી જોડાણ ધરાવતા હોય તેમણે બુધવાર સુધી એલપીજી જોડાણ સરન્ડર કરવાનાં રહેશે. શહેરમાં ગેસ લાઈન ધરાવતા 100 લોકોએ બોટલ સરન્ડર કર્યાં હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું છે. ગાયત્રી એજન્સીના 58 હજાર જેટલા ગ્રાહકો હોવાથી એજન્સી બંધ ન કરાઈગાયત્રી ગેસ એજન્સીના ગોડાઉનથી લોકોને સિલિન્ડર આપતા સમયે ડિલિવરી ચાર્જ લેવાયો હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે. જ્યારે ઘરે જઈ સિલિન્ડર આપ્યા હોય તો જ ડિલિવરી ચાર્જ લેવાય છે. નિયમ મુજબ ગોડાઉનમાંથી બોટલ ન આપી શકાય. ગાયત્રી ગેસ એજન્સીમાં 58 હજાર ગ્રાહકો હોવાથી લાઇસન્સ સસ્પેન્ડ કરાયું ન હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. બે દરોડા પાડીને કુલ 46 સિલિન્ડર કબજે કરાયાં

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:45 am

ગાયના લીધે અકસ્માત સર્જાયો:ગાય આડે આવતાં કાકા સાથે ઇન્ટર્વ્યુ આપવા જતી મહિલા રોડ પર પટકાઈ, બંને ઇજાગ્રસ્ત

નવાયાર્ડ ખાતે રહેતી મહિલા કાકા સાથે મંજૂસર જીઆઈડીસીમાં નોકરી માટે ઈન્ટર્વ્યુ આપવા બાઈક પર જઈ રહી હતી. દરમિયાન દુમાડ પાસે ગાય આડે આવતાં બાઈક સ્લિપ થયું હતું, જેમાં કાકા-ભત્રીજી ગંભીર રીતે ઘવાયાં હતાં. મહિલા પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલમાં બંને સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાધવપાર્કમાં રહેતાં 43 વર્ષીય રિબેકા ક્રિશ્ચયનનું સોમવારે મંજૂસર જીઆઈડીસીમાં ઈન્ટર્વ્યુ હતું. જેથી તેઓ કાકા મનુભાઈ સોલંકી સાથે બાઈક પર ઈન્ટર્વ્યુ આપવા નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ દુમાડ ગામ પાસે પહોંચ્યાં ત્યારે ગાય એકાએક બાઈકની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેથી મનુભાઈએ બ્રેક મારતાં બાઈક સ્લિપ થઈ હતી. અકસ્માતને પગલે રિબેકાબહેનને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે મનુભાઈ સોલંકીને માથામાં ઈજા પહોંચતાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 દ્વારા તેઓને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે રિબેકાબહેને જણાવ્યું હતું કે, હું ઈન્ટર્વ્યુ આપવા મારા કાકા સાથે જઈ રહી હતી. જોકે આ અકસ્માતને કારણે હું ઈન્ટર્વ્યુ આપી શકી નહોતી. હું સિંગલ મધર છું. છેલ્લા 6 મહિનાથી મારી પાસે નોકરી નથી. મારાં સંતાનોને હું ઉછેરી રહી છું. હવે દોઢ મહિનાનો પાટો આવ્યો છે એટલું હું નોકરી નહીં કરી શકું. માર્ચના 15 દિવસમાં જ 100 ગાય ઢોર ડબ્બામાં પૂરાઈપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી રખડતી ગાયોને પકડવામાં આવે છે. માર્ચ મહિનામાં 100થી વધારે ગાયને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી છે તેમ છતાં શહેરમાં ગાયો રખડતી જોવા મળતી હોય છે, જેને કારણે શહેરમાં અનેકવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:44 am

પાલિકા દ્વારા વન વોર્ડ-વન રોડ અંતર્ગત કામગીરી કરાઈ:વારસિયા જૂના RTOથી ફતેપુરા સુધી રોડની ટ્રીટેડ પાણીથી સફાઈ

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે વન વોર્ડ-વન રોડ ઝુંબેશ હેઠળ સફાઈ હાથ ધરાઈ છે. જેમાં જૂના આરટીઓ કચેરીથી ફતેપુરા ચાર રસ્તા સુધીનાં દબાણો હટાવવા સાથે રસ્તાની સફાઈ કરાઈ હતી. રોડ પર સેન્ટ્રલ ડિવાઈડરને ટ્રીટેડ વેસ્ટ વોટરથી ધોવાનું શરૂ કરાયું છે. સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ 100 દિવસમાં 100 રોડની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે. એક વોર્ડમાં એક રોડની સફાઈ સાથે દબાણો હટાવવાની કામગીરી તેમજ સેન્ટ્રલ ડિવાઇડરને ધોવાની કામગીરી કરાશે. તદુપરાંત ફૂટપાથ અથવા ડિવાઈડર તૂટેલા હોય તો તેના સમારકામની કામગીરી પણ એન્જિનિયરિંગ વિભાગ કરશે. આ ઝુંબેશ અંતર્ગત સોમવારે વારસિયા જૂના આરટીઓ કચેરીથી ફતેપુરા ચાર રસ્તા સુધી રોડની સફાઈ કરાઈ હતી. જેમાં સાથે રહેલી દબાણ શાખાની ટીમે લારી-ગલ્લા હટાવવા સાથે શેડ તોડી પાડ્યા હતા. બીજી તરફ પાનની પિચકારી અને ધુમાડાને કારણે ગંદા થયેલા ડિવાઇડરને ટ્રીટેડ વેસ્ટ વોટરથી ધોવાની કામગીરી કરાઈ હતી. પાલિકાની ટીમો રોડ પર ઊતરતાં જ દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાની લારી લઈને રોડ પર દોડતા નજરે પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Mar 2026 5:42 am