SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

મોરબીમાં બે જુદા બનાવમાં બેના મોત:યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, આધેડ મહિલાનું ઘરે મૃત્યુ

મોરબીમાં બે જુદા જુદા બનાવમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. ત્રાજપર પાસે નીલકંઠ સોસાયટીમાં એક યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે વાવડી રોડ પર મીરાપાર્કમાં એક આધેડ મહિલાનું ઘરે બેભાન અવસ્થામાં મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રાજપર નજીક નીલકંઠ સોસાયટીમાં રહેતા સુરજભાઈ રાજુભાઈ મેસરીયા (ઉં.વ. 25) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. હાલ એ.એન. ઝાપડિયા આ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજા બનાવમાં, મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા મીરાપાર્ક વિસ્તારમાં રહેતા સગુણાબેન કરસનભાઈ ફુલતરીયા (ઉં.વ. 52) પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સગુણાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:40 pm

બોટાદના વોર્ડ 9માં દારૂડિયાઓનો ત્રાસ:સ્થાનિકો પરેશાન, કોર્પોરેટરે પોલીસ બોલાવી; દારૂડિયાઓને પકડાવ્યા

બોટાદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અવેડા ગેટ વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધ્યો હતો. સ્થાનિક રહીશો દારૂડિયાઓની હરકતોથી ભારે પરેશાન હતા. આ દારૂડિયાઓ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટના વાયર વારંવાર કાઢી નાખતા હતા, જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો હતો. આ ઉપરાંત, તેઓ સ્થાનિક રહીશો પાસેથી બળજબરીથી પૈસા પણ ઉઘરાવતા હતા. દારૂડિયાઓના આ ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ વિસ્તારના કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા. માહિતી મળતા જ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસને બોલાવીને દારૂડિયાઓને પકડાવ્યા હતા, જેનાથી સ્થાનિકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:39 pm

સુરત મનપાની ગંદકીના કારણે યુવકોએ લગ્ન કરવા મુશ્કેલ બન્યા!:એક યુવકે તો ઓનલાઈન ફરિયાદમાં લખ્યું- 'છોકરીવાળા ખેતર જોવા આવે ત્યારે ગંદકી જોઈને ના પાડી દે છે'

આર્થિક વિકાસના માર્ગે અગ્રેસર સુરત શહેર હાલ ગંભીર હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કારણે દિવસભર ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. શહેરીજનોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદૂષણ વધારવામાં સુરત મહાનગરપાલિકા (SMC)નો ગાર્ડન વિભાગ જ કથિત રીતે સામેલ છે. આ મામલે લોકો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી રહી છે. જેમાં મનપાને લીધે મારા લગ્નની વાતોમાં તીરાડો પડતી હોવાનું પણ લખવામાં આવે છે. ગાર્ડન વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાના બદલે સળગાવાતો હોવાનો આક્ષેપનિયમો અનુસાર, શહેરના બાગ-બગીચાઓમાંથી નીકળતા 'ગાર્ડન વેસ્ટ'નો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખાતર બનાવીને અથવા અન્ય ઈકો-ફ્રેન્ડલી માર્ગે થવો જોઈએ. જોકે, પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં SMC દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવે છે. આ ભેગા કરાયેલા કચરાને પ્રતિદિન મોટા પાયે સળગાવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાર્ડન વેસ્ટના આ ઢગલાઓથી કોમન પ્લોટ હવે ડમ્પિંગ યાર્ડ જેવો ભાસી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે નીકળતો ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘૂસી જાય છે, જે સ્થાનિક નાગરિકોના આરોગ્ય માટે સીધો ખતરો ઊભો કરી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ પ્રદૂષણકારી પ્રવૃત્તિ વિરુદ્ધ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ કરી છે. જોકે, આટલી બધી ફરિયાદો છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતા અથવા બેદરકારીના કારણે ગેરકાયદેસર રીતે ગાર્ડન વેસ્ટ સળગાવવાનું ચાલુ છે. આ બાબતે જ્યારે ગાર્ડન વિભાગના અધિકારી ગજેન્દ્ર ચૌહાણનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમનો વિભાગ આ રીતે કચરો નિકાલ કરે છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ગાર્ડન વેસ્ટને સળગાવીને નિકાલ કરવો અયોગ્ય છે. આ ઘટના મહાનગરપાલિકાના આંતરિક વહીવટ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. શું ઉચ્ચ અધિકારીઓને તેમના નીચેના કર્મચારીઓ દ્વારા થતા કાર્યોની જાણ નથી? અથવા શું આ બેદરકારી જાણી જોઈને કરવામાં આવી રહી છે? હાલમાં સુરત શહેરમાંથી રોજેરોજ આશરે 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે, અને તેમાંથી મોટા ભાગના કચરાનો નિકાલ આ જ ગેરકાયદેસર રીતે કોમન પ્લોટમાં સળગાવીને કરવામાં આવે છે. ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વાત કાગળ પર રહી ગઈસૌથી ગંભીર મુદ્દો એ છે કે હાલ SMC પાસે ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ પણ પ્રકારની પૂરતી અને વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. બે વર્ષ પહેલાં 2023માં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે SMC ગાર્ડન વેસ્ટમાંથી બાયો-કોલ અને બ્રિક્સ (ઈંટો) બનાવીને ઉદ્યોગોને તેનું વેચાણ કરશે. આ યોજનાથી ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ થવાની અને આવક થવાની મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે તેમ છતાં આ મોટી વાતોનો જમીની સ્તરે કોઈ અમલ થયો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કાં તો અધિકારીઓને વૈજ્ઞાનિક ઢબે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવામાં રસ નથી, અથવા તો માત્ર કાગળ પરની યોજનાઓ ઘડાઈ છે અને તેનું અમલીકરણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમોની અવગણના કરીને ગાર્ડન વેસ્ટ સળગાવવામાં આવતો હોવાથી શહેરનું પ્રદૂષણ વધી રહ્યું છે અને નાગરિકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. ઓનલાઈન અરજીઓ છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. હવે જોવું રહ્યું કે SMC ક્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરીને તેના બે વર્ષ જૂના વચનોનો અમલ કરે છે અને સુરતને સ્વસ્થ હવા આપે છે. મેં 100 અરજી કરી હોવા છતા સમસ્યાનો ઉકેલ નથી આવ્યો- સ્થાનિકસ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગરપાલિકામાં બાગ ખાતાના, આરોગ્ય ખાતું અને ગટર ખાતું ત્રણે ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસ.એમ.સી.નો, બરાબર છે, એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી. બાગ ખાતાના આ લોકો આખા સુરતનો કચરો અહીંયા લાવે છે ને એનો નિકાલ નથી કરતા ને આગ લગાવે છે. એના લીધે 24 કલાક ધુમાડો જ ધુમાડો રહે છે. વધુમાં જણાવ્યું હતું કે, ગંદકીમાં અમે બાજુમાં ખેતી કરીએ છીએ, બધા પાકોમાં નુકસાન થાય છે ને પ્લાસ્ટિક બધું ઉડીને અમારા ખેતરોમાં આવે છે. આજુબાજુમાં લોકો રહે છે. લોકોને બહુ તકલીફ પડે છે પણ એસ.એમ.સી.વાળા કંઈ કામ જ કરતા નથી. મેં ઓછામાં ઓછી 100 અરજી કરી છે. પાલિકા કહે કે અમારી પાસે મશીન આવે ત્યારે સાફ કરાવશું અને અમે પછી આર.ટી.આઈ. માંગીને જવાબ માંગ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ, અમે પાલિકાએ કમિશનર અમને કચરો નાખવા માટે જગ્યા ફાળવેલી છે. એક યુવકે જણાવ્યું હતું કે,લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં અલગ અલગ સમસ્યાઓ પણ લખવામાં આવે છે. જે પૈકી એક અરજીમાં લખ્યું છે કે, વારંવાર રજૂઆત કરવા છતા પણ કચરાનો નિકાલ થતો નથી. SMCને લીધે મારા લગ્નની વાતોમા તીરાડો પડે છે. છોકરીવાળા ખેતરોમાં જોવા આવે છે ને SMCની ગંદકીના લીધે ના પાડે છે. બીજી અરજીમાં લખ્યું છે કે, સુરત મહાનગરપાલિકાના કચરો રસ્તા પર હોવાથી ગંદકીના લીધે અમારા ખેતરોમાં નુકસાન થાય છે અને બાગ ખાતાનો કચરો ગંદકીના લીધે અમારા ખેતરોને પણ વધારે નુકસાન થાય છે. પૂર્વ કોર્પોરેટરે પણ સુરત મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યાપૂર્વ કોર્પોરેટર વિજય પાંસરીયાએ જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટ બાબતે હાલમાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે. સુરત શહેરમાંથી જેટલો પણ બાગ-બગીચાનો કે હોર્ટીકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે, એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રીગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે, પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે, ત્યાં ને ત્યાં એને સળગાવવામાં આવે છે. જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ હોય છે, સોસાયટીના રહેવાસીઓ હોય, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, કચરાને સળગાવવાને લીધે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા. આજથી અઢી વર્ષ પહેલા એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ-બગીચાનો કે હોર્ટીકલ્ચરનો કચરો નીકળશે, એનાથી અમે બાયોફ્યુઅલ અને બાયો વેસ્ટમાંથી ઇંટો બનાવીને એનો ઉપયોગ કરશું. પણ આ વાતો ફક્ત કાગળ પર છે, જમીનની હકીકત તો તદ્દન વિપરીત છે. આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો, એ જમીનની હકીકત છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:39 pm

બનાસકાંઠા અને વાવ-થરાદમાં મતદારયાદી સુધારણા માટે મેગા કલેક્શન દિવસ:29 અને 30 નવેમ્બરે મામલતદાર કચેરીઓ ખાતે કામગીરી કરાશે

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આગામી 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ બંને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કલેક્શન દિવસ દરમિયાન, 29 નવેમ્બરે બપોરે 12:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી અને 30 નવેમ્બરે સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કામગીરી ચાલશે. સંબંધિત મતદાર વિભાગના મતદારો પોતાના ગણતરી ફોર્મ (EF) અને ફોર્મના પાછળના ભાગમાં દર્શાવેલ 1 થી 11 પુરાવાઓમાંથી લાગુ પડતા પુરાવા રજૂ કરી શકશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ નોંધ લેવા જણાવ્યું છે કે, જે મતદારો મતદારયાદીમાં નોંધાયેલા પોતાના સરનામે રહેતા નથી, તેવા સ્થળાંતરીત મતદારોએ આ કેમ્પનો લાભ લઈને પોતાના ગણતરી પત્રક અને પુરાવા રજૂ કરવા. મતદારોની સુવિધા માટે વિવિધ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. 07 વાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી વાવ, ભાભર નગરપાલિકા અને સુઈગામ મામલતદાર કચેરી ખાતે કામગીરી થશે. 08 થરાદ વિધાનસભા માટે મામલતદાર કચેરી થરાદ ખાતે, જ્યારે 09 ધાનેરા વિધાનસભા માટે મામલતદાર કચેરી ધાનેરા અને મામલતદાર કચેરી દાંતીવાડા ખાતે વ્યવસ્થા છે. 10 દાંતા વિધાનસભા માટે મામલતદાર ઓફિસ દાંતા, જનસેવા કેન્દ્ર હડાદ (ગ્રામ પંચાયત કચેરી) અને મામલતદાર ઓફિસ અમીરગઢમાં વ્યવસ્થા કરાઈ છે. 11 વડગામ વિધાનસભા માટે મામલતદાર ઓફિસ વડગામમાં સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 12 પાલનપુર વિધાનસભા માટે મામલતદાર કચેરી પાલનપુર તેમજ પાલનપુર નગરપાલિકામાં સેવાઓ ઉપલબ્ધ છે. 13 ડીસા વિધાનસભા માટે મામલતદાર કચેરી ડીસામાં, 14 દિયોદર વિધાનસભા માટે મામલતદાર કચેરી દિયોદરમાં અને 15 કાંકરેજ વિધાનસભા માટે મામલતદાર કચેરી કાંકરેજ તથા મામલતદાર કચેરી લાખણી ખાતે તમામ કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:36 pm

લખતરમાં 7.25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સદાદ ગામમાં LCBએ દરોડો પાડ્યો. 683 બોટલ અને બિયર ટીન જપ્ત

સુરેન્દ્રનગર LCBએ લખતરના સદાદ ગામેથી 7.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એક વાડીની ઓરડીમાંથી કુલ 683 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચોરીછૂપીથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા ઇસમો અંગે ચોક્કસ બાતમી મેળવી કાર્યવાહી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના અપાઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ LCB અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમો બનાવી પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક અને પો.કોન્સ. સંજયભાઈ પાઠકને મળેલી સંયુક્ત બાતમીના આધારે સદાદ ગામના પાદરમાં આવેલી એક વાડીની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 MLની 516 બોટલ (કિંમત રૂ. 6,85,500), 180 MLની 95 નાની બોટલ (કિંમત રૂ. 23,750) અને 72 બિયર ટીન (કિંમત રૂ. 15,850) મળી આવ્યા હતા. આમ, કુલ રૂ. 7,25,100/-નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં ભૂપતસિંહ વજેસિંહ ઝાલા (રહે. સદાદ, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર) નામના આરોપીને પકડવાનો બાકી છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. ભુપતસિંહ રાઠોડ, પો.કોન્સ. સંજયભાઈ પાઠક, પો.કોન્સ. કપિલભાઈ સુમેરા અને પો.હેડ કોન્સ. યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:32 pm

મુળધરાઈ શાળામાં ક્લસ્ટર કલા ઉત્સવ યોજાયો:વિકસિત ગુજરાત@2047 થીમ પર બાળકોએ કલાનું પ્રદર્શન કર્યું

જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર પ્રેરિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી મુળધરાઈ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. આ ઉત્સવ વિકસિત ગુજરાત@2047ની થીમ પર આધારિત હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં મુખ્ય ચાર સ્પર્ધાઓ યોજાઈ હતી: સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા. નિર્ણાયક મિત્રોએ ખૂબ ચીવટપૂર્વક પરિણામો તૈયાર કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. પી.એમ. શ્રી શાળા નસીતપુરના આચાર્ય મનીષભાઈ જોગરાણાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જ્યારે મુળધરાઈના સી.આર.સી. મહેશભાઈ મકવાણાએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. બાળકોએ ચિત્ર, કાવ્ય અને ગીતો દ્વારા ગુજરાતના ગૌરવનું ગાન કર્યું હતું. તેમણે કલાના માધ્યમથી ગુજરાતના વર્તમાન અને ભવિષ્ય વિશેના પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી હતી. આ કાર્યક્રમમાં મુળધરાઈ, પીપરીયા, મોણપુર, નવાગામ, શાહપુર, મેવાસા, રતનપુર અને નસીતપુર ગામની શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકો હવે તાલુકા કક્ષાએ ભાગ લેશે. દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું, અને પ્રથમ ત્રણ નંબર મેળવનારને રોકડ ઇનામી રકમ આપવામાં આવી હતી. ક્લસ્ટરની શાળાઓના શિક્ષકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાની ભૂમિકા સારી રીતે અદા કરી હતી. આભારવિધિ પાટણા સી.આર.સી.ના ધર્મેશભાઈ વેગડે કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન મુળધરાઈ શાળાના શિક્ષક જીતેન્દ્રસિંહ ચૌહાણે કર્યું હતું. કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથેનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:27 pm

શાળા નં. 295 (પી.એમ.શ્રી) માં બંધારણ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ આમુખ વાંચી, બંધારણના મૂલ્યો સમજ્યા

રતુભાઈ મુળશંકર અદાણી શાળા નં. 295 (પી.એમ.શ્રી) માં ભારતીય લોકશાહીના પવિત્ર પર્વ 'બંધારણ દિવસ'ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. આ વિશેષ કાર્યક્રમનું આયોજન શાળાના સવારના પ્રાર્થના સંમેલન દરમિયાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી બિંદિયાબેન બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બંધારણનું મહત્વ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે સામૂહિક રીતે ભારતીય બંધારણના 'આમુખ' (Preamble) નું વાંચન કર્યું હતું. આ સાથે, સૌએ બંધારણને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે પ્રેરણાદાયી માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણું બંધારણ માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ તે આપણી સ્વતંત્રતા અને અધિકારોનું રક્ષક છે. શિક્ષિકા બિંદિયાબેન બારોટે વિદ્યાર્થીઓને નાગરિક તરીકેના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે ખૂબ જ સરળ અને રસપ્રદ શૈલીમાં સમજણ આપી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ બંધારણ વિશે વક્તવ્યો રજૂ કર્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. અંતમાં, રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેના થકી વિદ્યાર્થીઓને ભારતીય લોકશાહી અને બંધારણ વિશે અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:23 pm

IPGA રાજકોટ પ્રમુખને પ્રોમિસિંગ ફાર્માસિસ્ટ ૨૦૨૫ ખિતાબ મળ્યો:લખનઉમાં યોજાયેલી કોન્ફરન્સમાં ડો. ધાર્મિક મહેતા સન્માનિત

IPGA રાજકોટ ચેપ્ટરના પ્રમુખ ડો. ધાર્મિક મહેતાને 'પ્રોમિસિંગ ફાર્માસિસ્ટ 2025' નો ખિતાબ એનાયત થયો છે. આ સન્માન તાજેતરમાં 8 નવેમ્બર 2025ના રોજ લખનઉ ખાતે યોજાયેલી IPGA (ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન) ની 37 મી વાર્ષિક કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત ખિતાબ માટે સમગ્ર દેશમાંથી નામાંકિત થયેલા ફાર્માસિસ્ટ્સની પ્રોફેશનલ પ્રોફાઇલ અને તેમના યોગદાનનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમાંથી એક નામની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે ડો. મહેતાની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ધાર્મિક મહેતાએ IPGAના પદાધિકારીઓ, કોન્ફરન્સના મહાનુભાવો અને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડો. રાજીવસિંહ રઘુવંશીની ઉપસ્થિતિમાં આ ખિતાબ સ્વીકાર્યો હતો. આ બહુમાન મેળવવા બદલ ડો. મહેતાએ તમામ શુભેચ્છકો, સહાયકો અને પસંદગી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:20 pm

'ઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છે’:કેટલાક IPSની સંપત્તિની તપાસ થવી જોઈએ, સરકાર કાનાણી જેવા નીડર MLAના પત્રોની કિંમત કરતી નથી: પ્રતાપ દુધાત

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં 'પોલીસ વર્સીસ વિપક્ષ' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દૂધાતે ડ્રગ્સ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રોને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છેઃ પ્રતાપ દૂધાતગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રગ્સ અને નશાના કારોબારનો મુદ્દો ટોચ પર છે. આ મુદ્દે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, પંજાબ ડ્રગ્સના કારણે 'ઉડતા પંજાબ' તરીકે ઓળખાતું હતું અને ત્યાંની યુવાની બરબાદ થઈ હતી. આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે. ગુજરાત હવે 'ઉડતા ગુજરાત' નહીં પરંતુ 'ઝૂમતા ગુજરાત' બની ગયું છે. ‘શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે?’તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પહેલા સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે. દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષનો નહીં પણ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે. શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે? તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો. ‘ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી?’રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા દૂધાતે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જોઈએ, પરંતુ અત્યારે પોલીસ 'લાજવાને બદલે ગાજવાનું' કામ કરી રહી છે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાને બદલે ડ્રગ્સ માફિયાઓને પકડો. જો તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે.તેમણે ઉમેર્યું કે, ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી? આ પ્રશ્નો શંકા ઉપજાવે છે. ‘અમુક અધિકારીઓ વર્દીની ગરિમા ભૂલી પાર્ટીના એજન્ટ બની ગયા’પોતાના આક્રમક તેવર માટે જાણીતા પ્રતાપ દૂધાતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમુક અધિકારીઓ વર્દીની ગરિમા ભૂલીને રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે. દૂધાતે માંગ કરી હતી કે, કેટલાક IPS અધિકારીઓની સંપત્તિની તપાસ થવી જોઈએ. કયા સોર્સથી અને કયા 'બે નંબર'ના ધંધાથી આ પૈસા આવ્યા છે, તેની એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, પોલીસને કહેવા માગુ છું કે સરકાર આજે છે અને કાલે નથી. ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે ઉતરવાના જ છે. કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા હતા, તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે ડરવાના નથી. પ્રતાપ દુધાતે કુમાર કાનાણીના વખાણ કર્યાપ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતાએ ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના વખાણ કર્યા. પ્રતાપ દૂધાતે કહ્યું કે, કુમારભાઈ એક નીડર અને જાંબાઝ વ્યક્તિ છે. તેઓ જનતાના પ્રશ્નો માટે અવારનવાર સરકારને પત્રો લખે છે અને જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તેમના જ ધારાસભ્યના પત્રોની કોઈ 'વેલ્યુ' કરતી નથી. સરકાર પત્રનો જવાબ આપવાનું કે સમસ્યા ઉકેલવાનું ભૂલી ગઈ છે. જનતા રેડ અને આઈસોલેશન સેન્ટરનો મુદ્દોઅંતમાં દૂધાતે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પાસે માંગ કરી હતી કે ડ્રગ્સની લતમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા સરકારે કેટલા 'આઈસોલેશન સેન્ટર' ખોલ્યા છે? તેનો હિસાબ આપે. તેમણે જાહેરાત કરી હતી કે વ્યસની લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ હવે કાયદાકીય લડત લડશે અને જરૂર પડ્યે 'જનતા રેડ' પણ કરશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:18 pm

સરદારની 150મી જયંતિ, સમન્વય ગ્રુપે સરદાર વંદના કાર્યક્રમ યોજ્યો:ભાવનગરની શાળા નં. 76માં નિકુંજ મહેતાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું

ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં. 76માં સમન્વય ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે 'સરદાર વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટેના ઉદ્ઘાટન કાર્યક્રમ તરીકે યોજાયો હતો. રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા ગુજરાતની ૫૬૫ શાળાઓમાં, ભાવનગર સમન્વય ગ્રુપ દ્વારા જિલ્લાની ૧૫૦ શાળાઓમાં, અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગરની 40 શાળાઓમાં આવા 'સરદાર વંદના' કાર્યક્રમો યોજાશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સમન્વયના સાથી અને શાળાના પૂર્વ આચાર્ય ડો. હરેશ રાજ્યગુરુએ સમન્વય ગ્રુપ અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેરમેન નિકુંજભાઈ મહેતાનું સમન્વય સાથી પરેશભાઈ ત્રિવેદી, સંજયભાઈ દેસાઈ અને બળદેવસિંહ ગોહિલે પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બળદેવસિંહ ગોહિલે સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૫ રજવાડાઓને એક કરવાના મહાન કાર્ય વિશે વાત કરી હતી. પરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓમાં જીવનઘડતર અને દેશભક્તિના ગુણોનું સિંચન થાય તેવા સરદાર સાહેબના જીવનપ્રસંગો રજૂ કર્યા હતા. વેલજીભાઈ કણકોટિયાએ સરદાર ક્વિઝ અંગે માહિતી આપી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતાએ સમન્વય ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સાર્ધ શતાબ્દિ ઉજવણી અંતર્ગત આયોજિત 'સરદાર વંદના' કાર્યક્રમને આવકારી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિશેષ વાંચન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સમન્વય ગ્રુપ દ્વારા શાળાને સરદાર સાહેબનો મોમેન્ટો અને પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કિર્તીબેન ભટ્ટ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. સમન્વય ગ્રુપના પરેશભાઈ ત્રિવેદી, બળદેવસિંહ ગોહિલ, વેલજીભાઈ કણકોટિયા, સંજયભાઈ દેસાઈ, હરેશભાઈ રાજ્યગુરુ અને ભરતભાઈ ભટ્ટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:18 pm

પાટણ કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો:360 વિદ્યાર્થીઓએ રક્ત તપાસ કરાવી, સ્વાસ્થ્ય જાગૃતિ અપાઈ

પાટણની સરકારી ઈજનેરી કોલેજ, કતપુરમાં વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા અને વારસાગત થેલેસેમિયા રોગના વહેલા નિદાન માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એન.એસ.એસ. યુનિટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મંગળવાર, 25 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલા આ કેમ્પમાં કુલ 360 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની રક્ત તપાસ કરાવી હતી. રેડક્રોસ સોસાયટીની ટીમે તમામ તબીબી સાવચેતી, સેનિટાઈઝેશન અને સલામતીના પ્રોટોકોલનું પાલન કરીને ટેસ્ટ કર્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફે. (ડૉ.) બી. જે. શાહ અને એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જાગૃત કર્યા હતા અને સ્વાસ્થ્ય પરીક્ષણોના મહત્વ, વારસાગત બીમારીઓના નિદાન તેમજ વિદ્યાર્થી જીવનમાં આરોગ્ય સજાગતાની ભૂમિકા સમજાવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:14 pm

ગોધરાકાંડ બાદનો રમખાણ કેસ:લઘુમતી કોમના ટ્રક ડ્રાઈવરની સળગાવીને હત્યા કરવાના કેસમાં 9 આરોપીને સાબરકાંઠા કોર્ટે નિર્દોષ છોડ્યા, હાઇકોર્ટે ચુકાદા સામની સરકારની અપીલ નકારી

2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં લઘુમતી કોમના ટ્રક ડ્રાઈવરની સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 9 આરોપીને સાબરકાંઠા કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ કરતા કોર્ટે સરકારની અપીલ નકારી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003માં સાબરકાંઠા સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે અપીલ કરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે હત્યાના આરોપસર 09 વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા હતા. હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા ઉપરોક્ત અપીલ નકારી નાખી છે. રમખાણ સમયે ઇકબાલ ટ્રક લઈ અમદાવાદ જવા નીકળ્યા હતાવર્ષ 2002માં ગોધરા સાબરમતી એક્સપ્રેસને સળગાવતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. આ સમયે મોડાસાના ઇકબાલ બાકરેલીયા કંડકટર મોહમ્મદ સાહિદ સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે તાજપુર સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પહોંચ્યા, ત્યારે ટોળાએ તેમને રોક્યા હતા. ટોળાએ ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ જોવા માંગ્યું હતું. ટોળાએ માર મારી મૃતદેહ સળગાવી દીધો હતોપરંતુ પરિસ્થિતિ પારખી જઈને ટ્રક ડ્રાઇવર ઇકબાલે ટ્રક રોડની બાજુમાં આવેલી જગ્યામાં ઉતારીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તે સફળ ન થતા ટોળાએ તેને પકડીને માર માર્યો હતો. જેમાં ઈકબાલનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ટ્રક સાથે જ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. સાથે રહેલ કન્ડક્ટર સાહીદને પણ પાઈપ વાગી હતી. પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાનો પોલીસ કંટ્રોલને મેસેજ મળતા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં 06 લોકો ટ્રકની પાસે ઊભા હતા. પોલીસે તેમને પોલીસ મથકે લઈ જઈને ટ્રક ચાલકને મારીને, ટ્રક સળગાવવાનો ગુન્હો નોંધ્યો હતો. જો કે સાબરકાંઠા સેશન્સ કોર્ટે 14 સાક્ષી અને 06 પુરાવાઓ તપાસીને આરોપીઓને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે માત્ર ઘટનાસ્થળે હાજરીથી આરોપીઓ ટોળાનો ભાગ હતા કે તેમને જ આ કૃત્ય કર્યું છે તેમ કહી શકાય નહીં. ટોળાના ભાગ હતા કે નહીં તેનો કોઈ ખુલાસો કરાયો નથી: હાઇકોર્ટ​​​​​​​આરોપીના વકીલે હાઇકોર્ટમાં કહ્યું હતું કે ભારત બંધનું એલાન અને આવી ઘટના ઘટવાથી ગામડાના લોકો ભેગા થાય, એનો મતલબ એમ નથી કે તેઓએ ડ્રાઇવરને માર્યો કે તેઓ ટોળાનો ભાગ હતા. હાઇકોર્ટે સરકારની અપીલ નકારતા નોંધ્યું હતું કે ડ્રાઇવરની હત્યા વિશે શંકા નથી. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઘટના બની ચૂકી હતી. ઘટના સમયે ટોળું મોટું હતું. આરોપીઓ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો કે તેઓ ટોળાના ભાગ હતા, તેનો કોઈ ખુલાસો કરાયો નથી. રમખાણો સમયે ઘણી જગ્યાએ ટોળા ભેગા થતા હતા. કુતુહલવશ ગામડાના લોકો તે ઘટનાસ્થળે જોવા ગયા હોય તેવું બની શકે. કોઈ નિર્દોષને સજા થવી જોઈએ નહીં.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:14 pm

JC ગ્રુપ સ્કૂલ્સ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન:શાનેન સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર

JC ગ્રુપ ઑફ સ્કૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જ્ઞાનવર્ધન અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શેનન અને સેફાયર સ્કૂલ્સના વરિષ્ઠ ધોરણોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રેરણા, જ્ઞાન સમૃદ્ધિ અને કુશળતા વિકાસને કેન્દ્રમાં રાખીને 15થી વધુ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. આ પ્રવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, વિચારશક્તિ, વ્યવહારુ જ્ઞાન, સર્જનાત્મકતા અને જીવન કુશળતાઓ વિકસાવવાનો છે. લગભગ 700થી વધુ વરિષ્ઠ વિદ્યાર્થીઓ આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ પ્રવૃત્તિઓ દ્વારા તેઓ શૈક્ષણિક ઉપરાંત વ્યક્તિગત અને સામાજિક વિકાસમાં લાભ મેળવશે. JC ગ્રુપ ઑફ સ્કૂલ્સ દ્વારા આયોજિત આ પહેલ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ સક્ષમ, આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:13 pm

“ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી મળે છે”:મહિલા કોંગ્રેસનો ગુજરાત સરકાર પર સીધો હુમલો, 29મીએ અમદાવાદમાં મહારેલી પછી દારૂ-ડ્રગ્સ-જુગારના અડ્ડા પર ‘જનતા રેડ’ની ચીમકી

થરાદના દારૂના દૂષણને બંધ કરવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લોકો સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. જે દરમિયાન જીગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારી દેવાની વાત કરતા પોલીસ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેની સામે મહિલા કોંગ્રેસ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂના અડ્ડા જ નહીં દારૂની હોમ ડિલિવરી થતી હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમજ જીગ્નેશ મેવાણીનો વિરોધ કરનાર પોલીસ પરિવારના બહેનો નહીં ભાજપના કાર્યકર્તાઓ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેની સામે મહિલા કોંગ્રેસ 29મીએ રેલી યોજી વિરોધ નોંધાવશે. દારુ-જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની મહિલા કોંગ્રેસ તૈયારીઆગામી 29મીએ મહિલા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂની કમિશનર કચેરીથી કલેક્ટર કચેરી સુધી મહિલા કોંગ્રેસ રેલી યોજાશે. અમદાવાદમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ બંધ કરવા માટે મહિલા કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપશે. મહિલા કોંગ્રેસની રેલીમાં પ્રદેશના નેતાઓ સામાજિક સંગઠન, સમાજની મહિલાઓ, NSUIના કાર્યકર્તાઓએ જોડાવાના છે તેમજ આવેદનપત્ર આપ્યા બાદ પણ દારૂ, ડ્રગ્સ અને જુગાર બંધ નહીં થાય તો અડ્ડાઓ પર જનતા રેડ કરવાની મહિલા કોંગ્રેસ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં ઘરે દારૂ જોઈએ તો પણ મળી જાય એવી સ્થિતિ સર્જાઈઅમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. જે દરમિયાન દારૂ અને ડ્રગ્સના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે તેની સામે લોકોનો આક્રોશ છે છતાં કોઈ પગલા લેવાતા નથી. ઉડતા પંજાબની જેમ ઊડતું ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે, પોલીસનો ડર અત્યારે જોવા મળે છે, જેથી કોઈ બોલવા તૈયાર નથી. ગાંધીના ગુજરાતમાં ઘરે દારૂ જોઈએ તો પણ મળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. યુવાનો અત્યારે ડ્રગ્સનાં રવાડે ચડી ગયા છે. જેથી, બાળકો ખોટા રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ આવે છે ક્યાંથી તે સૌથી મોટો સવાલ છે. ડ્રગ્સ પકડાય છે પરંતુ કોને મંગાવ્યું હતું તે સામે આવતું નથી. પોલીસ રેડ નથી કરતી હોવાથી હવે કોંગ્રેસ જનતા રેડ કરશેવધુમાં સોનલ પટેલે જણાવ્યું હતું કે, હપ્તા ગાંધીનગર સુધી જતા હોવાથી કોઈ પકડાતું નથી. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો ધંધો બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેનો સ્ત્રીઓ સૌથી વધુ ભોગ બની રહી છે, તેમજ ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે. ચારે તરફથી જીગ્નેશ મેવાણીને સમર્થન મળી રહ્યું છે. સામાજિક અને લોકોનો મુદ્દો હોવાથી આટલો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ સામે અત્યારે તમામ લોકો પરેશાન છે. જેની સામે મહિલા કોંગ્રેસ રેલી યોજી વિરોધ કરશે. આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની પણ કોંગ્રેસ તૈયારી કરાશે. પોલીસ રેડ નથી કરતી હોવાથી હવે કોંગ્રેસ દારૂ અને ડ્રગ્સનું દૂષણ બંધ કરવા માટે જનતા રેડ કરશે. 2021થી 2025 સુધી 16 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ છેગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, વિરોધ થતો નથી વિરોધ કરાવવામાં આવી રહ્યો છે. હિંમતનગરમાં પોલીસ પરિવારની બહેનો આગળ આવીને બહેનો વિરોધ કરી રહી હતી. પરંતુ સ્થાનિક લોકોએ જોયું તો સામે આવ્યું કે આમાં પોલીસ પરિવારની બહેનો કરતા ભાજપના લોકો વધારે છે. મંદિરની આજુબાજુ અને બધે જ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જેનો અવાજ લઈને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ તરીકે વિરોધ કરીએ તો પણ તેમની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. 2021થી 2025 સુધી 16 હજાર કરોડનું ડ્રગ્સ પકડાય છે. આટલું મોટું ડ્રગ્સ પકડાય તેવું બતાવવા ખાતર છે તેની સામે લોકોને ઉલ્લુ બનાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ગુજરાતને ડ્રાય રાજ્ય કહેવાય છે છતાં પણ સૌથી વધુ દારૂ ગુજરાતમાં વહેંચાય છે અને પહોંચી રહ્યું છે. જો આ બદીઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ જનતા રેડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:10 pm

સિલ્વર ઓક લૉ કોલેજે રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા યોજી:સંવિધાન દિવસ પર ખોટી માહિતીના પડકારો પર ચર્ચા

સંવિધાન દિવસ નિમિત્તે, સિલ્વર ઓક લૉ કોલેજે સોશિયલ હાર્મની ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય સ્તરની નિબંધ લેખન સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમ હમારા સંવિધાન - હમારા સ્વાભિમાન થીમ હેઠળ યોજાયો હતો. સ્પર્ધાની થીમ ખોટી માહિતી અને બંધારણ: ચોથા સ્તંભ માટે જોખમો અને તેને મજબૂત બનાવવાની રીતો હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતભરના વિદ્યાર્થીઓને ખોટી માહિતીના પડકારોનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવા પ્રેરિત કરવાનો હતો. દેશભરના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે બંધારણીય મૂલ્યો અને મીડિયા સાક્ષરતા પ્રત્યે તેમની ઊંડી જાગૃતિ દર્શાવે છે. સંવિધાન દિવસના કાર્યક્રમ દરમિયાન, વિજેતાઓને મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા. મહાનુભાવોએ સહભાગીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને ખોટી માહિતીના વધતા જોખમ સામે લોકશાહીના ચોથા સ્તંભ – પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. આ રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે ખૂબ સફળ સાબિત થઈ. સહભાગીઓએ લોકશાહીના ચોથા સ્તંભના મહત્વ અને ખોટી માહિતીની અસર વિશે ઊંડી સમજ મેળવી, તેમજ તેમની વિવેચનાત્મક વિચારસરણી અને વિશ્લેષણાત્મક ક્ષમતામાં વધારો થયો. સ્પર્ધાએ મીડિયા નીતિશાસ્ત્ર, જવાબદાર પત્રકારત્વ અને ખોટી માહિતીના ઉકેલો પ્રત્યે જાગૃતિ ફેલાવી, જેનાથી યુવાનોમાં બંધારણીય સાક્ષરતા મજબૂત બની. સિલ્વર ઓક લૉ કોલેજ અને સોશિયલ હાર્મની ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ કાયદાકીય જાગૃતિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપનારો સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:06 pm

રાહે પબ્લિક સ્કૂલમાં ફ્રૂટ ડે ઉજવાયો:બાળકોએ ફળો લાવ્યા, શિક્ષકોએ માહિતી આપી

નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલ દ્વારા ફ્રૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં બાળકો ઘરેથી વિવિધ ફળો લઈને આવ્યા હતા. શિક્ષકોએ બાળકોને ફળોના પોષક મૂલ્યો અને સ્વાસ્થ્ય માટેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:06 pm

પાટણ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કેમ્પ:29 અને 30 નવેમ્બરે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન

ભારતના ચૂંટણી પંચના પત્ર અનુસાર, 01/01/2026ની લાયકાત તારીખના આધારે ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર ગણતરી ફોર્મનું વિતરણ અને સંગ્રહ કાર્ય 04/11/2025 થી 04/12/2025 સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોને સેવા વધુ સરળતાથી મળી રહે તે હેતુસર, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ બે દિવસ માટે યોજાશે. આ વિશેષ કેમ્પોમાં મતદારો પોતાના ગણતરી ફોર્મ (EF) જમા કરાવી શકશે. ઉપરાંત, તેઓ જરૂરી દસ્તાવેજોની વિગતો અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે કે, જે મતદારોના ગણતરી ફોર્મ હજુ બાકી છે, તેઓ આ વિશેષ કેમ્પનો ઉપયોગ કરી ફરજિયાત રીતે ફોર્મ જમા કરાવે. 29 અને 30 નવેમ્બર, 2025ના વિશેષ કેમ્પોની વિગતો નીચે મુજબ છે, જે સવારે 11:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે: 1.16 – રાધનપુર વિધાનસભા મતવિભાગ: 2. 17 – ચાણસ્મા વિધાનસભા મતવિભાગ: 3. 18 – પાટણ વિધાનસભા મતવિભાગ: 4. 19 – સિધ્ધપુર વિધાનસભા મતવિભાગ: જિલ્લા ચૂંટણી અધિકારી, પાટણ દ્વારા તમામ મતદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નક્કી કરાયેલા કેમ્પ સ્થળે હાજરી આપી પોતાના મતાધિકાર માટે આવશ્યક ગણતરી ફોર્મ (EF) જમા કરાવે અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સહભાગી બને.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:05 pm

કાંકરિયા શાળાની અંડર-14 ટીમે વોલીબોલમાં દ્વિતીય સ્થાન મેળવ્યું:ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું ગૌરવ વધાર્યું

ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાની અંડર-૧૪ બહેનોની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. ટીમે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન ટીમે જબરદસ્ત સંકલ્પ, સઘન તાલીમ અને ઉત્કૃષ્ટ ટીમવર્કનો પરિચય આપ્યો હતો. અંતિમ રાઉન્ડ સુધી પહોંચીને બહેનોએ દમદાર મુકાબલો આપ્યો અને કઠિન હરીફાઈ છતાં રનર-અપનું ગૌરવ હાંસલ કર્યું. વિજેતા બહેનોને શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓની મહેનત, કોચ ચેતનાબહેન પટેલનું માર્ગદર્શન અને વાલીઓના સહકારથી આ સફળતા શક્ય બની છે. શાળા પરિવારે વોલીબોલ ટીમને ભવિષ્યમાં પણ રમતોમાં વધુ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન કરવા પ્રોત્સાહન આપ્યું છે. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:03 pm

તાપીમાં આંગણવાડી કર્મચારીઓએ BLO કામગીરીનો વિરોધ કર્યો:ઓર્ડર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી અંતર્ગત આંગણવાડી વર્કરોને BLO તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઓર્ડરના વિરોધમાં તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે જિલ્લા સેવાસદન ખાતે એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ જેવી મુખ્ય કામગીરી પર BLOની ફરજને કારણે અસર પડી રહી છે. આથી, તેમણે BLOના ઓર્ડર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓની આંગણવાડી બહેનો જોડાઈ હતી. તેમણે સૂત્રોચ્ચાર કરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 5:02 pm

23 ગંભીર ગુનાનો આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો:ભાઈની હત્યાનો બદલો લેવા પેરોલ પર આવતા સલમાન શેખથી ડરી યુપીથી હથિયાર મંગાવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાની કોશિશ,લૂંટ,મારામારી, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાના આરોપીને 2 તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યો હતો. આરોપીને પોતાની હત્યા થવાના ડરના કારણ સાથે હથિયાર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બાપુનગર મણીલાલની ચાલી પાસેથી મોહમ્મદ સિકંદર નામના આરોપીની બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી સહિતના 23 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપીના ભાઈ તનવીરની 15 વર્ષ પહેલા સન્માન શેખ નામના વ્યક્તિ હત્યા કરી હતી. સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી. સલમાન શેખ પેરોલ પર જેલ બહાર આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરીસલમાન દ્વારા આરોપી પર હુમલો કરવામાં આવશે તેવો આરોપીને ડર હતો, જે ડરના કારણે આરોપીએ યુપીથી બે તમંચા લાવ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે. આરોપી બાપુનગરમાં દરગાહમાં સાફ-સફાઈનું કામ કરે છે. આરોપીએ હથિયાર કોની પાસેથી કેટલામાં ખરીદ્યું તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:58 pm

છોટા ઉદેપુરમાં MGVCLનું વીજ ચેકિંગ:46 ટીમોએ 74 જગ્યાએ તપાસ કરી ચોરી પકડી, 35.06 લાખનો દંડ ફટકારાયો

છોટા ઉદેપુરમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન 74 સ્થળોએ વીજ ચોરી ઝડપાઈ હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 35.06 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની વિજિલન્સ ટીમે નગરમાં 46 અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગમાં 171 કર્મચારીઓ અને પોલીસ ટીમ પણ જોડાઈ હતી. કુલ 1483 વીજ ગ્રાહકોના કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 74 જગ્યાએ વીજ ચોરી પકડાઈ હતી, જેના પરિણામે રૂ. 35.06 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. વીજ ચોરી રોકવા માટે વીજ કંપની દ્વારા સમયાંતરે આવી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:56 pm

પાટણ કોંગ્રેસ મહિલા સમિતિની જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી:દારૂ-ડ્રગ્સ મુદ્દે પાટણ SP કચેરીમાં DYSPને આવેદન, 'અડ્ડા બંધ કરો' ના નારા લાગ્યા

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમસાણ ચાલુ છે.મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓના 'પટ્ટા ઉતારવા'ની વાત કરતા વિવાદ સર્જાયો હતો. આ નિવેદનના વિરોધમાં પાટણ પોલીસ પરિવારે 21 નવેમ્બરના રોજ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. હવે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના સભ્યો વિવિધ બેનરો સાથે SP કચેરી બહારથી રેલી સ્વરૂપે કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ વિરુદ્ધ હાય હાય, દારૂના અડ્ડા બંધ કરો, સસ્તા દારૂ મહેંગા તેલ મોદી તારા કેવા ખેલ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જ્યારે જિજ્ઞેશ મેવાણી હમ તુમ્હારે સાથ હૈ ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કોંગ્રેસ મહિલા સમિતિએ DYSP મહેન્દ્ર સિંહ સોલંકી ને આવેદનપત્ર આપીને જિલ્લામાં ધમધમતા દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી. સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અડ્ડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 800થી વધુ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને તેમની પાસે આ અંગેના ઓન રેકોર્ડ પુરાવા છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તાર મુજબ દારૂ અને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) ને લગતા આરોપીઓ/બુટલેગરોની સંખ્યા જાહેર કરી હતી. આ આંકડાઓ મુજબ: રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 250 થી 300, પાટણ સિટી વિસ્તારમાં દારૂ, જુગાર તથા NDPS ના 350 થી 375, સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર તથા NDPSના 175 થી 225, ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPS ના 75 થી 100, શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPSના 125 થી 150, અને હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPS ના 125 થી 135 ચાલુ ધંધાવાળા બુટલેગરો છે. જયા ઠાકોરે ઉમેર્યું હતું કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે, જેના કારણે પાટણ જિલ્લામાં મહિલાઓ અને બાળકોને લગતી ઘટનાઓ વધી રહી છે. તેમણે પોલીસને સરકારનો હાથો ન બનવા અને બુટલેગરોના ધંધા બંધ કરાવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જીગ્નેશ મેવાણી સ્ત્રી સશક્તિકરણ અને યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે જાગૃતિનું કામ કરી રહ્યા હોવાથી કોંગ્રેસ તેમના સમર્થનમાં છે. કોંગ્રેસ મહિલા સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો જિલ્લામાં ધમધમતા જુગારના અડ્ડા અને બુટલેગરોનું લિસ્ટ પણ જાહેર કરવાની તેમની તૈયારી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:53 pm

ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ:વડોદરાથી મુંબઈ જનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ 6E-2168- 5138 રદ, મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આજે રાત્રે 8.05 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે અને પરત વડોદરાથી 8.40 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે. મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે. આજે વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર ઇન્ડિયાની ફલાઇટ નંબર AI808 પણ સમય કરતા વીસથી પચીસ મિનિટ લેટ થતા મુસાફરો અટવાયા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:48 pm

1 ડિસેમ્બરે 34 જિલ્લામાં ગીતા મહોત્સવ:ગુજરાતમાં સંસ્કૃત અને ગીતાનો પ્રચાર કરવા CMના નેતૃત્વમાં ‘યોજના પંચકમ’ શરૂ; શ્લોક પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજ્યમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને વેગ આપવા અને ભારતીય સંસ્કૃતિના પાવન ગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતાના અભ્યાસને વ્યાપક બનાવવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘યોજના પંચકમ’ની શરૂઆત કરવામાં આવી છે. યોજનામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ થાય છે. ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15ના શ્લોકોનું સામૂહિક પારાયણ કરશેગીતા જયંતિના પાવન દિવસે, 1 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના 34 જિલ્લાના સ્થળોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના પ્રતિભાગીઓ શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15ના શ્લોકોનું સામૂહિક પારાયણ કરશે. ઉપરાંત વિવિધ સ્થળોએ સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત સુભાષિતોનું પાઠ, ભગવદ ગીતા પર વિદ્વાનોના વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાશેકાર્યક્રમ અંતર્ગત ગીતા કંઠપાઠ અને સુભાષિત કંઠપાઠ યોજનામાં જોડાયેલા પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. આવનારા સમયમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે યુનિવર્સિટી કક્ષાએ સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજનાની સમીક્ષા થશે. સમીક્ષામાં પ્રતિભાગીઓના શ્લોકોના ઉચ્ચારણ, લય-છંદની સુશ્રુતા, કંઠપાઠની નિપૂણતા, ભાવ-ભક્તિ અને આત્મવિશ્વાસભરી પ્રસ્તુતિ જેવા માપદંડોનો સમાવેશ થશે. ગીતા મહોત્સવનું આ આયોજન રાજ્યમાં સંસ્કૃત ભાષાની પેનોરામિક સમૃદ્ધિને પુનર્જીવિત કરવા અને યુવાપેઢી વચ્ચે આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવા મહત્વપૂર્ણ બનશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:45 pm

ગીફ્ટ સિટીની માહિતી એક જ જગ્યાએથી મળશે:ઇન્વેસ્ટર્સ અને પ્રોફેશનલો માટે ફેસિલિટેશન સેન્ટર ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે

GIFT સિટી ટૂંક સમયમાં રોકાણકારો, બિઝનેસ અને આર્થિક હબમાં કામ કરતા પ્રોફેશનલોને એક જ સ્થળે તમામ માર્ગદર્શન અને સહાય મળે તે માટે સમર્પિત ફેસિલિટેશન સેન્ટર અને લાઉન્જ શરૂ કરવા જઈ રહી છે. આ સેન્ટર GIFT સિટીમાં માહિતી, પ્રક્રિયા અથવા માર્ગદર્શિકા માગતા દરેક માટે સંપર્ક સેન્ટર તરીકે કાર્ય કરશે. ડિસેમ્બરના મધ્ય પછી સેન્ટર કાર્યરત થશેસુત્રોના જણાવ્યા મુજબ, આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો છે અને ડિસેમ્બરના મધ્ય પછી સેન્ટર કાર્યરત થઈ જશે. સિંગલ બેકએન્ડ ઇન્ટરફેસ તરીકે ડિઝાઇન કરાયેલ આ ફેસિલિટેશન સેન્ટર કંપનીઓને IFSCમાં યુનિટ શરૂ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વધુ સરળ બનાવશે. રહેઠાણ, સ્કૂલ, હોસ્પિટલ સહિતની તમામ માહિતી એક જ સ્થળેસેન્ટર દ્વારા બિઝનેસોને નિયમનકારી માર્ગદર્શિકા, એપ્લિકેશન સપોર્ટ અને ઓપરેશન શરૂ કરવા માટેની અન્ય જરૂરી પ્રક્રિયામાં મદદ મળશે. સાથે જ GIFT સિટીમાં નવા જોડાતા કર્મચારીઓ અને પ્રોફેશનલોને સ્કૂલ, હોસ્પિટલ, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિશેની માહિતી પણ મળશે. ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ પણ તૈયાર કરાશેGIFT સિટી મેનેજમેન્ટ જમીનસ્તરની સેવાઓ ઉપરાંત તેને ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા વિસ્તૃત કરવાની તૈયારીમાં છે. આ ડિજિટલ પ્લેટફોર્મ જાન્યુઆરી મધ્ય સુધી લાઈવ થવાની શક્યતા છે, જે વપરાશકર્તાઓને માહિતી મેળવવા અને સંબંધિત વિભાગો સાથે વર્ચુઅલ રીતે જોડાવા સગવડ આપશે. આ પહેલ GIFT સિટીને વધુ સુલભ બનાવવાની અને ‘Ease of Doing Business’ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. GIFT સિટીમાં ઝડપથી વધતા ઇન્વેસ્ટર્સ અને વર્કફોર્સને શ્રેષ્ઠ સહાય સિસ્ટમ ઉપલબ્ધ થાય તે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:43 pm

સાસરિયાનો ત્રાસ:પ્રેગનન્ટ હોવા છતાં પતિએ મારકૂટ કરી, સાસરિયાઓએ પતિને ત્રણેય સંતાનો સાથે ક્યાંક મોકલી ત્રાસ ગુજારતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા અંગે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન બાદ થોડા સમય પછી પતિ ખોટી શંકાઓ કરતો અને માનસિક ત્રાસ આપતો હતો આ પછી પરિણીતા પ્રેગ્નેટ હોવા છતાં પતિએ માર માર્યો હતો અને પછી ત્રણેય સંતાનોને લઇ ઘરે પરત ન આવતા સાસરિયાઓ દ્વારા પતિ અને ત્રણેય સંતાનોને કોઈ જગ્યાએ મોકલી દીધા હોવાની જાણ થતા કંટાળી પરિણીતાએ પતિ સંદિપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન અને જેઠાણી પૂનમબેન સામે ત્રાસ ગુજાર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2013માં લગ્ન થયા હતા પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2013માં થયા હતા. પતિ બાંધકામ અને જમીન લે-વેચનું કામ કરે છે. લગ્નના થોડા સમય બાદથી પતિએ ખોટી શંકાઓ કરવાનું શરૂ કર્યું હતું અને સાંજે ઘરે આવતા સાસુ-સસરા ચડામણી કરતા હતા. સંતાનમાં પુત્રનો જન્મ થતા હોળીના તહેવારમાં ભાઈ તેને હોળીના ફેરા ફેરવવા આવ્યા હતાં પરંતુ સસરા અને પતિએ તારો ભાઈ હોળીના ફેરા નહીં ફેરવે પીનાકીન ફેરવશે કહેતા મારો ભાઈ મામા થાય છે આથી તે ફેરા ફેરવશે કહેતા સસરા અને જેઠ સાથે બોલાચાલી થઇ હતી જેના કારણે ભાઈ સાથે પરત મોરબી પિયર જતા રહ્યા હતા. પતિને અવારનવાર તેડી જવા ફોન કરતી હતી પરંતુ તેના માતા-પિતા વિશે અપશબ્દો બોલી ત્રાસ આપતો હતો. અરસપરસ સમજાવટથી તે ફરીવાર રાજકોટ આવી ગઈ હતી તે પ્રેગનન્ટ હોવાથી સસરા અને પતિએ પ્રત્યક્ષને નણંદના ઘરે જવા માટે તૈયાર કર્યો હતો. પરંતુ પુત્રને જવું ન હોવાથી નથી જવું તો શું કામ મોકલો છો કહેતા પતિએ મારકૂટ કરી હતી. પ્રેગનન્સીનો આઠમો મહિનો ચાલતો હોવા છતાં માર માર્યો હતો સાસરિયા પક્ષનો વ્યવહાર બરાબર ન હોવાથી તે માવતરે જતી રહી હતી. પ્રેગનન્સીનો આઠમો મહિનો ચાલતો હોવા છતાં સાસરિયાઓએ કોઈ ખબર અંતર પૂછ્યા ન હતાં તેમજ ત્રાસ આપતાં કંટાળી ગયા હતાં. પતિએ મોરબી ફેમિલી કોર્ટમાં પુત્રની કસ્ટડી મેળવવા અરજી કરી હતી આ સમયે બીજા પુત્રનો જન્મ થયો હોવા છતાં સાસરિયાઓ ખબર અંતર પૂછવા આવ્યા ન હતાં. જેથી સાસરિયાઓ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ અંગેની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સમાધાન થઈ ગયું હતું. કોર્ટની સૂચના મુજબ સાસુ-સસરા અને જેઠ-જેઠાણીને અલગ રહેવાનું કહેતા તે હેરિટેજ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતાં. સાસરિયાઓએ પતિને બાળકો સહિત ક્યાંક મોકલી ત્રીજી પ્રેગનન્સી વખતે દીકરીનો જન્મ થયો હતો. આ સમયે ઓપરેશન આવ્યું હોવાથી તે કામકાજ કરી શકે તેમ ન હોવા છતાં સાસુ સારસંભાળ રાખવાને બદલે પતિને ચડામણી કરી ઝગડા કરાવતા હતા. પતિ ત્રણેય બાળકોને પ્લોટિંગ બતાવવા જાવ છું, તું જમવાનું બનાવી રાખજે, ઘરે પરત આવી સાળંગપુર જવું છે કહી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યા ન હતાં. ફોન કરતાં બંધ આવતો હતો આ સમયે સસરાએ તેમને નાસ્તો આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આમ સાસરિયાઓએ તેના પતિને બાળકો સહિત ક્યાંક મોકલી આપી ત્રાસ ગુજારતા ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:42 pm

ચાંદલોડિયામાં ત્રણ મહિલા દુકાનમાંથી 5 પંજાબી ડ્રેસ ચોરી ફરાર:દુકાનદારે સ્ટોકની તપાસ બાદ CCTV ચેક કરતા મહિલાઓ ડ્રેસ લઈ ટ્રાયલ રૂમમાં જતી દેખાઈ, FIR

અમદાવાદના ચાંદલોડિયામાં કપડાની દુકાનમાંથી લેડીઝ ડ્રેસ ચોરી થયા છે. દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ ડ્રેસ ટ્રાયલ કરવા ટ્રાયલ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન છુપાવીને બીજો ડ્રેસ પણ સાથે લઈ ગઈ હતી. ત્રણ મહિલાએ દુકાનમાંથી 5 ડ્રેસની ચોરી કરી હતી. આ અંગે દુકાનમાલિકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં મહિલાઓ ડ્રેસ લઈ જતી દેખાઈવાડજમાં રહેતા કૃણાલ શાહ ચાંદલોડિયામાં રેડીમેડ કાપડનો ધંધો કરે છે. 25 નવેમ્બરે તેઓ દુકાને આવ્યા, ત્યારે સાંજે તેઓ સ્ટોક તપાસતા હતા. સ્ટોકમાં પાંચ પંજાબી ડ્રેસ ઓછા હતા, જેથી તેમણે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવીમાં તેમની દુકાનમાં ત્રણ મહિલાઓ સાંજના સમયે આવી હતી, જે ગ્રાહક બનીને ડ્રેસ ટ્રાયલ રૂમમાં લઈ જઈ ચેક કરતી હતી. આ મહિલાઓ ટ્રાયલ રૂમમાં જતી ત્યારે એક જોડીના બદલે બે જોડી સાથે લઈને જતી હતી. દુકાનદારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીટ્રાયલ લીધા બાદ એક જ જોડી સ્ટાફને પરત આપતી હતી, જ્યારે બાકીની એક જોડી છુપાવી દેતી હતી. ત્રણે મહિલાઓ દુકાનમાંથી ખરીદી કર્યા વિના જતી રહી હતી અને ત્રણે મહિલાઓએ જ દુકાનમાંથી પાંચ પંજાબી ડ્રેસની ચોરી કરી હતી. કૃણાલભાઈએ પાંચ પંજાબી ડ્રેસ ચોરી થયા અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:36 pm

'બાપની પાઘડી નીચી ન નમે એ જવાબદારી દીકરીઓની છે':પાલનપુરમાં જયેશ રાદડિયાની દીકરીઓને સલાહ, લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા

પાલનપુર તાલુકાના મડાણા ખાતે આવેલી નૂતન ભારતી સંસ્થામાં લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા 28મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. પૂર્વ મંત્રી અને હાલના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ દીકરીઓને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દીકરીઓએ પોતાના પિતાની પાઘડીનું સન્માન જાળવવું જોઈએ અને તેને નીચી ન નમવા દેવાની જવાબદારી દીકરીઓની છે. 'બાપ-દાદાની પાઘડી સંસ્કારની નિશાની'રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બાપ-દાદા જે પાઘડી પહેરતા હતા તે આપણા સંસ્કાર અને વારસાની નિશાની છે. આ પાઘડી એ આપણા વડીલોનું પ્રતીક છે અને દીકરીઓનું કર્તવ્ય છે કે તેઓ આ સન્માનને જાળવી રાખે. દીકરીનો બાપ હંમેશા પોતાની દીકરી માટે સારું જ વિચારે છે. દીકરીઓએ જે ઘરમાં જન્મ લીધો છે અને જે સમાજમાં ઉછરી છે, ત્યાં તેમના માતા-પિતાએ કરેલી મહેનત અને કમાયેલા નામ-આબરૂનું મૂલ્ય સમજવું જોઈએ. 'સમાજની સંસ્થા ખોલવાનું પ્રયત્ન કરીશું'ધારાસભ્ય જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું કે, આપણે વધુ એક જગ્યાએ સમાજની સંસ્થા ખોલવાનું પ્રયત્ન કરીશું તો સમાજની દીકરીઓને મદદરૂપ થઇ શકીશું. હું રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ કે પાલનપુરમાં સમાજ હોસ્પિટલ બનાવવા માટેનું સપનું વિચારે છે, એ આપણા માટે જરૂરી છે. કેમ કે એવી રીતે સમાજની અંદર વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે. 'પોતાના બાપ પર અને લેઉવા પટેલ સમાજ પર ભરોષો રાખજો'રાદડિયાએ જણાવ્યું કે, લેઉવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ-દાદાએ આપેલો વારસો જાળવી રાખજો. આપણા બાપ-દાદા પાઘડી પહેરતા હતા ને એ આપણા સંસ્કારની નિશાની છે. દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી નીચી ન નમી જાય એ જોવાની જવાબદારી દીકરીઓની છે. ઘરમાં તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા હોય તોય ઘરનો વડીલ એનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ દિવસ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોષો રાખજો અને લેઉવા પટેલ સમાજ પર.. આ સમૂહ લગ્ન સમારોહમાં પટેલ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ દીકરીઓને તેમના પિતાના ભરોસા પર વિશ્વાસ રાખવા અને સમાજની ગરિમા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:31 pm

બે દિવસમાં 120 કરોડના 100 મકાનો-4 ધાર્મિક દબાણો દૂર કરાયા:ભાવનગરમાં નવાપરા બાદ આજે ફુલસરમાં મેગા ડિમોલિશન, કુલ 19,500 ચોમીથી વધુ જગ્યા ખાલી કરાઈ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો સામે તવાઈ બોલાવામાં આવી રહી છે. જ્યાં અકવાડા મદરેસા બાદ ગતરોજ 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયા બાદ આજે ફુલસરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વેશન પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 60 કરોડની કિંમતની 16,500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે 70થી વધુ કાચા-પાકા મકાનો અને 3 ધાર્મિક સ્થાનો સહિતના દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરેનવાપરા કબ્રસ્તાન પાસેની એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો મળી 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. 70થી વધુ કાચા-પાકા મકાનો અને 3 ધાર્મિક દબાણો દૂર કરાયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં આજે (27 નવેમ્બર)એ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફુલસર ટીપી સ્કીમ 2 (A)ના રિઝર્વશન પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા આજરોજ વહેલી સવારથી કોર્પોરેશનની જંગી ટીમ અને પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો આપવામાં આવી હતી. 4 જેસીબી અને 2 ડમ્પરની મદદથી મેગા ડિમોલિશનદબાણકર્તાઓએ આધાર પુરાવા રજૂ ન કરતાં આજરોજ મનપાની જગ્યા ખાલી કરવા અંદાજિત 70થી વધુ કાચા-પાકા મકાનો, 3 ધાર્મિક સ્થાનો અને રિઝર્વશન પ્લોટમાં થયેલા દબાણો અંદાજિત 16,500 ચોરસમીટર જગ્યા પર 4 જેસીબી અને 2 ડમ્પરની મદદથી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરીમાં ફાયર ટીમ, PGVCL ટીમ અને 60થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવાપરા કબ્રસ્તાન પાસે ધાર્મિક સ્થળ સહિત 60 કરોડના 30 દબાણો દૂર કરાયાભાવનગરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન હેઠળ નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બૂલડોઝર ફર્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં મેગા ડિમોલિશનભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલમ મદરેસા આવેલી છે. જે મદરેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 7થી 8 રૂમો, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું. જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:25 pm

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવસારીમાં એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું:NH-48 અને 54ની સ્થિતિ અંગે અધિકારીઓને કડક સૂચના આપી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની 'ઓન-રોડ' મુલાકાત લઈને કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તેમણે નેશનલ હાઈવે નંબર 48 અને 54ની સ્થિતિ અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રી નીતિન ગડકરીએ નવસારીના ખારેલ અને ચીખલી નજીક આવેલા ગણદેવા ગામ પાસે નિર્માણ પામેલા એક્સપ્રેસ હાઈવેની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓને હાઈવેની કામગીરી ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત વેળાએ કેન્દ્રીય મંત્રીની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા. સાંસદ ધવલ પટેલે ખારેલ પાસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કર્યું હતું અને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે કેન્દ્ર સરકારનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ હાઈવે સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું પરિવહન અત્યંત મજબૂત બનશે. તેનાથી વાહનચાલકો માટે પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઈંધણની પણ બચત થશે. આ પણ વાંચો- કેન્દ્ર સરકાર ગુજરાતમાં હાઇવે માટે 20,000 કરોડ આપશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:23 pm

“આ છોકરીને ક્લાસ કરાવો, હું સપોર્ટ કરીશ”:અમદાવાદના બુક ફેસ્ટિવલમાં હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરતા અમિત શાહે વિગતો મંગાવી, કહ્યું- હજુ પ્રોફેશનલ ક્લાસ કરવાની જરૂર છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. જે દરમિયાન અલગ-અલગ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં એક વિદ્યાર્થિનીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ અમિત શાહે વિદ્યાર્થિની તમામ વિગતો અને એડ્રેસ ઓફિસ પર મોકલવાની સૂચના આપી હતી. જેથી, શાળા દ્વારા તમામ વિગતો અને એડ્રેસ સાથેની માહિતી અમિત શાહની ઓફિસે પહોંચાડવામાં આવી છે પરંતુ, વિદ્યાર્થિનીએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કેમ કરી? તેને લઈને દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થિની પ્રગતિ સાથે વાતચીત કરી છે. વિદ્યાર્થિની કે પરિવારને ખબર નહિ તેને અમિત શાહના હસ્તે સન્માનિત કરાશેપ્રગતિ ચૌહાણ નામની વિદ્યાર્થિની પુરુષોત્તમ નગર શાળા નંબરમાં ધોરણ-5માં અભ્યાસ કરે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સંગીતની સ્પર્ધામાં પ્રગતિ નામની વિદ્યાર્થિનીનો પહેલો નંબર આવ્યો હતો. જેથી, અલગ-અલગ સ્પર્ધામાં જે પણ લોકો વિજેતા થયા હતા તેમને ઇનામ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી, પ્રગતિ ચૌહાણને પણ ઇનામ લેવા માટે બોલાવવામાં આવી હતી પરંતુ, તેને કે તેના પરિવારને ખબર નહિ કે ઇનામ અમિત શાહના હસ્તે સન્માનિત કરવામાં આવશે. પરિસ્થિતિના કારણે વિદ્યાર્થિનીએ ક્લાસીસ બંધ કર્યાજ્યારે પ્રગતિ ચૌહાણ તેના પરિવાર સાથે ઈનામ લેવા માટે જ્યારે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે આજે તેને ઇનામ અમિત શાહ આપવાના છે. એક બાદ એક અમિત શાહના હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે પ્રગતિ ચૌહાણને ઇનામ લેવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારે ઇનામ આપતા સમયે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સહજતાથી સવાલ કરતા પૂછ્યું કે, ક્લાસ કરવા માટે જાય છે કે નહીં ત્યારે પ્રગતિ ચૌહાણે જવાબ આપતા કહ્યું હતું કે, ના સર પહેલા કરતી હતી પરંતુ, પરિસ્થિતિના કારણે બંધ કરવા પડ્યા છે. પ્રગતિ ચૌહાણે એડવાન્સ ક્લાસ કર્યા વગર હાર્મોનિયમ વગાડવામાં મહારથ હાંસલ કરીવિદ્યાર્થિની પ્રગતિ ચૌહાણનો ભાવુક જવાબ સાંભળતા જ અમિત શાહે હાજર અધિકારીઓને વિદ્યાર્થિનીની વિગતો અને એડ્રેસ ઓફિસ પહોંચાડવા માટે સૂચના આપી હતી. જો તે બાદ શાળા દ્વારા વિદ્યાર્થિનીની વિગતો અને એડ્રેસ અમિત શાહની ઓફિસ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થિની પ્રગતિ 4 વર્ષની હતી ત્યારથી હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું હતું. થોડા વર્ષ સુધી આર્થિક સ્થિતિ સારી હોવાથી દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પિતાએ તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ, એક સમય બાદ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પિતાએ દીકરીના હાર્મોનિયમના ક્લાસ બંધ કરાવવા પડ્યા હતા. અત્યારે પ્રગતિ ચૌહાણના પિતા નાનું-મોટું કામ કરીને દીકરીને અભ્યાસ કરાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે પરંતુ, પ્રગતિ ચૌહાણે કોઈપણ એડવાન્સ ક્લાસ કર્યા વગર એટલી મહારથ હાંસલ કરી છે કે અત્યારે તમામ જિલ્લામાંથી હાર્મોનિયમ વગાડવા માટે ઓર્ડર આવી રહ્યા છે. પ્રગતિએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતીપૈસા માટે નહીં પરંતુ દીકરી હજારો લોકો સામે પરફોર્મન્સ કરી શકે તે માટે ઓર્ડર લેવાના શરૂ કર્યા છે. એકવાર પ્રગતિનું સંગીત અને તેનો અવાજ સાંભળ્યા બાદ અન્ય લોકો પણ ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં પણ આટલી સારી ચાહના મેળવી હોવાથી પ્રગતિને વધુ અભ્યાસ માટે સારી જગ્યાએ ક્લાસ લેવા જરૂરી છે પરંતુ, પિતાની પરિસ્થિતિ જોતા તે શક્ય થઈ શકતું નથી. જેથી, પ્રગતિએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રગતિની ઈચ્છા છે કે, સારા ક્લાસ કરીને વિદેશમાં પણ પરફોર્મન્સ કરી પરિવારનું અને ગુજરાતનું નામ રોશન કરી શકે. જે માટે અમિત શાહ પ્રગતિને હાર્મોનિયમ શીખવવા માટેના ક્લાસની વ્યવસ્થા કરી તેની ઈચ્છા પૂરી કરશે. અમિત શાહે પૂછ્યું હતું કે, તારે ક્લાસ કરવા છે? વિદ્યાર્થિની પ્રગતિ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે ખબર નહતી કે અમિત શાહ આવવાના છે. અમને એટલી જ ખબર હતી અમારે ત્યાં જવાનું છે. જે બાદ પહોચ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમિત શાહ આવવાના છે. અમિત શાહે બધા લોકો સાથે વાતચીત કરી હતી. મારો નંબર આવ્યો ત્યારે મને પૂછ્યું કે, તું ક્લાસ કરે છે કે નહીં ? પરંતુ મેં કહ્યું કે ના સર ક્લાસ નથી કરતી પહેલા કરતી હતી પરંતુ પરિસ્થિતિના કારણે બંધ કરવા પડ્યા છે. જેથી અમિત શાહે પૂછ્યું હતું કે તારે ક્લાસ કરવા છે ? તો ક્લાસ કરવાની હા પાડી હતી. તો અમિત શાહે કીધું સારું તને ક્લાસ કરાવીશ. ઘણી બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે, પરંતુ હજુ પણ પ્રોફેશનલ ક્લાસ શીખવાની જરૂરી છે. દીકરીને આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મહેનત કરીએ છીએવિદ્યાર્થિનીના પિતા નાગજીભાઈ ચૌહાણે કહ્યું હતું કે, મારી દીકરી 7 વર્ષથી સંગીત શીખે છે તેમજ હાર્મોનિયમ પણ ચાર વર્ષથી વગાડે છે પરંતુ, હજુ પણ તેને હાર્મોનિયમ શીખવું પડે તેવું છે. મારો ધંધો ઓછો ચાલી રહ્યો છે, તેમજ તેની પાછળ હોવાથી અન્ય કામ કરી શકતા નથી. જેથી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. અમિત શાહે મારી દીકરીને કહ્યું હતું કે, તારે હાર્મોનિયમ શીખવું હોય તો હું તને સપોર્ટ કરીશ. જો સપોર્ટ મળશે તો તે આગળ વધી શકે છે. અલગ-અલગ 350 જેટલા પ્રોગ્રામ પણ ર્ક્યા છે. શાળા દ્વારા વિગતો માંગવામાં આવી હતી જે આપી દીધી છે. વધુમાં નાગજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મોટા સ્ટેજ પર તેને પરફોર્મન્સ કરવાની તક મળે છે. ભવિષ્યમાં પણ તે દેશ અને વિદેશમાં પ્રોગ્રામ કરીને પરિવાર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી અમારી ઈચ્છા છે. ઘણા બધા રૂપિયાનો ખર્ચ દીકરીના ક્લાસ પાછળ કર્યો છે. એક દિવસના પ્રોગ્રામ કરાવવા માટે પણ ધંધો છોડીને જવું પડે છે, જેના કારણે મારું કારખાનું પણ બંધ થઈ ગયું છે. પૈસા મળે કે ન મળે તેની અમે કોઈ પણ અપેક્ષા રાખી નથી. માત્ર આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મહેનત કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:07 pm

'સાયલેન્સર ચોર ગેંગ'નો આતંક,CCTV:મધરાતે કારમાં આવીને ઈકો ગાડીનું સાયલેન્સર કાઢી જૂનું ફિટ કરી ચોરીને અંજામ આપી ફરાર

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ખાસ કરીને હાઇવે પર સરળતાથી વેચાણ થઈ શકે તેવા અને કિંમતી ધાતુઓ ધરાવતા કારના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં શહેરના સેક્ટર-4 વિસ્તારમાં બનેલી એક ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. મોડી રાત્રે એક મારુતિ ઈકો કારને નિશાન બનાવી ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઇ જૂનું ફીટ કરીને ગેંગ કારમાં નાસી જતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અત્રેના વિસ્તારમાં એક પછી એક ચારથી વધુ ચોરીને સાયલેન્સર ચોર ગેંગ ધ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાની સ્થાનિકોમાં બુમરાણ ઉઠવા પામી છે. ઈકો કારમાંથી સાયલન્સની ચોરી કરી તસ્કરો ફરારશહેરના સેક્ટર-4 વિસ્તારમાં બનેલી એક ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. મોડી રાત્રે એક મારુતિ ઈકો કારને નિશાન બનાવી ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઇ જૂનું ફીટ કરીને ગેંગ કારમાં નાસી જતાં સમગ્ર ઘટના આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. મધરાતે ચોર ગેંગના બે ઇસમો કાર લઈને સેક્ટર-4 વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ ઠંડા કલેજે અને બિન્દાસ રીતે પાર્ક કરેલી ઈકો કારમાંથી ઓરિજિનલ સાયલેન્સરને ગણતરીની મિનિટોમાં કાઢી લીધું હતું. કારચાલકને ખબર ન પડે તે માટે ઓરિજિનલ સાયલેન્સર કાઢી જૂનું ફીટ કરી દેતાઆ ગેંગની મોડસ ઓપરેન્ડી સૌથી આશ્ચર્યજનક છે. ઓરિજિનલ અને કિંમતી સાયલેન્સરની ચોરી કર્યા બાદ પકડાઈ ન જવાય તે હેતુથી તેજ જગ્યાએ નકલી (જૂનું) સાયલેન્સર ફિટ કરીને ફરાર થઈ ગયા હતા. આ પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓ ચોરીનો ગુનો છુપાવવાનો પ્રયાસ કરે છે, જેથી વાહન માલિકને તાત્કાલિક ચોરીની જાણ ન થાય અને ગેંગને પોલીસ પકડથી બચવાનો વધુ સમય મળી શકે. આ ચોરીનો ભોગ બનેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે સેક્ટર-7 પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઈકો કારના સાયલેન્સરમાં પ્લેટિનમ, પેલેડિયમ અને રહોડિયમ જેવી મોંઘી ધાતુઓ હોય છે, જેની બ્લેક માર્કેટમાં ઊંચી કિંમત મળે છે, આ જ કારણે આ ગેંગ માત્ર ઈકો કારને જ નિશાન બનાવી રહી છે.શહેરના શાંત અને સુરક્ષિત ગણાતા સેક્ટરોમાં રાત્રિના સમયે આવી બિન્દાસ ચોરી થતા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને CCTV ફૂટેજના આધારે આ સક્રિય સાયલેન્સર ચોર ગેંગને તાત્કાલિક પકડી પાડવાની સખત માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 4:05 pm

ગુજસીટોક કેસનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો:વડોદરામાં કાસમઆલા ગેંગના જામીન પર છૂટેલા સભ્યની 2.80 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ, ડ્રગ્સ આપનાર સુરતનો એક શખ્સ વોન્ટેડ જાહેર

વડોદરા શહેરમાં તાજેતરમાં ગુજસીટોક કેસમાં જેલમાંથી જામીન પર છૂટેલા કાસમઆલા ગેંગના સભ્ય સાહીદ ઉર્ફે ભુરીયો ઝાકીરભાઈ શેખ(ઉં.વ. 32)ને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ટીમે વડોદરા શહેરના હુઝરાત ટેકરા વિસ્તારમાં શેરઅલીબાવાની દરગાહ પાસે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. અંગ ઝડતી લેતાં આરોપી પાસેથી 2.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (બજારકિંમત રૂ. 6,240), એક મોબાઇલ ફોન (રૂ.5,000) તથા ઘરનું લાઇટબીલ મળી આવ્યું હતું. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 11,240 થાય છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તે આ ડ્રગ્સ સુરતના અમરોલી વિસ્તારે રહેતા સાજીદ પટેલ પાસેથી લાવ્યું હતું અને નાની પડીકીઓ બનાવી વડોદરામાં છુટક વેચાણ કરતો હતો. આરોપી સાહીદ ઉર્ફે ભુરીયો કાસમઆલા ગેંગનો સક્રિય સભ્ય છે. વર્ષ 2025ની શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલહવાલે કર્યા હતા. જામીન પર છૂટ્યા બાદ પણ આરોપીએ ડ્રગ્સનો ધંધો ચાલુ રાખ્યો હતો, જેની સતત નજર રાખવામાં આવી રહી હતી. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. સુરતના સાજીદ પટેલની શોધખોળ ચાલુ છે. આરોપી સામે 14 ગુના - ચોરી, મારામારી, જુગાર, પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે - 2025માં ગુજસીટોક હેઠળ પણ જેલવાસ ભોગવ્યો હતો

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:58 pm

ગુજરાતના પોલીસ વડા 'નિસહાય' : પરેશ ધાનાણી:રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થશે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થશે

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ સરકાર કિન્નાખોરી દાખવી રહી હોવાના આક્ષેપ સાથે રાજકોટ આવેલા કોંગી નેતા પરેશ ધાનાણીએ જન આક્રોશ રેલી બાદ દેશની આવનાર પેઢીને બરબાદ કરતા માફિયાઓ સામે અવાજ ઉઠાવી અખાએ ગુજરાતમાં આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફરી તેમને એક તળપદી ભાષામાં વિવાદિત નિવેદન આપી જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થવાની છે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે. પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થવાની છે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે. જે લોકો દારૂ અને ડ્રગસના દુષણને પ્રોત્સાહન આપે છે અને પોતાની ફરજ ચુકી રહ્યા છે તેવા તમામ સામે જન આંદોલન થશે તો આગેવાની પરેશ ધાનાણી સંશિત આખો કોંગ્રેસ પક્ષ લેવા તૈયાર છે. કાયદાકીય લડાઈ લડવાની પણ અમારી તૈયારી છે. જનતા આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં આવા તમામ ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, મિલ્કત માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેશું. ગુજરાતના તમામ લોકો યજમાનીને આવકારી રહ્યા છે ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાની મળતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં યજમાની મળી એ સારી વાત છે કોંગ્રેસ પરિવાર સહિત ગુજરાતના તમામ લોકો યજમાનીને આવકારી રહ્યા છે. પરંતુ સત્તાધારી પક્ષને એટલી જ અપીલ છે કે જે રીતે રમત ગમતમાં ખેલદિલી રાખવામાં આવે તેવી જાહેર જીવનમાં પણ રાખવામાં આવે. ગુજરાતની જનતાને પડતી મુશ્કેલી સાંભળો તેનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે. રમત ગમતની જેમ ખેલદિલી રાખવામાં આવે. પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવશે. મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂ ડ્રગ્સ અને ગંજાનું દુષણ ખુબ વધી રહ્યું છે. પોલીસ મોટ ભાગના કેસમાં આરોપીઓને પકડી પણ શક્તિ નથી બે દિવસ પહેલા પણ પોલીસ કમિશનરને રજુઆત મળી હતી કે દારૂના નશામાં ધૂત શખ્સ વિસ્તાર વાસીઓને હેરાન કરે છે જો કે તેની સામે કોઈ કાર્યવાહ હજ સુધી થઇ નથી. માત્ર દારૂ જ નહિ પરંતુ ડ્રગ્સ, ગાંજો, ચરસ, તેમજ ટ્રાફિક સહિતના પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે જે તમામ બાબતે આગામી દિવસોમાં પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:45 pm

બોટાદમાં કવિ બોટાદકરની જન્મજયંતીની ઉજવણી:'સ્વરાંજલિ' કાર્યક્રમમાં સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

બોટાદમાં કવિ બોટાદકરની જન્મ જયંતી નિમિત્તે 'સ્વરાંજલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના જાણીતા ગાયક, કવિ અને ગીતકાર અરવિંદ બારોટ રહ્યા હતા. તેમણે કવિ બોટાદકરની રચનાઓને સ્વરબદ્ધ કરીને રજૂ કરી, જેનાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, બોટાદના પૂજ્ય માધવસ્વરૂપ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે કવિ બોટાદકરના સાહિત્યિક યોગદાનને બિરદાવ્યું હતું. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંચાલક પ્રા. વૈશાલીબેન દવેએ કવિ બોટાદકરની અમર રચનાઓ, ખાસ કરીને 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' અને ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન વિશે વક્તવ્ય આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંયોજક ભાવેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કવિ બોટાદકરના સાહિત્યિક વારસાને જીવંત રાખવાના આ પ્રયાસ બદલ સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માતૃભાષા અને સાહિત્ય પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:43 pm

માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધો:મહિલાએ પ્રેમલગ્ન કરેલા હોવાથી પિતા સમાજની રીતે છૂટાછેડા કરાવી દેશે તેવા ડરને કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાની આઠ માસની દીકરીને પાણીના હોજમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમલગ્નને કારણે પિયરપક્ષ સમાજની રીતે છૂટાછેડા કરાવી પાછા લઈ જશે તેવા ડરને કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધોપ્રાપ્ત માહિતી અનુસાર, સંખેડાના પીપળસટ ગામની એક વાડીમાં ગિરીશભાઈ ભૂરિયાભાઈ ભીલ તેમની પત્ની સંગીતાબેન અને 8 માસની દીકરી હંસિકા સાથે રહીને ખેતમજૂરી કરતા હતા. ગિરીશભાઈએ સંગીતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે સંગીતાબેનને હંમેશા એક ડર સતાવતો હતો કે, તેમના પિતા સમાજની રીતે ભેગા થઈને તેમને છૂટાછેડા કરાવીને પાછા લઈ જશે. આ સતત ડર અને ભય હેઠળ તેઓ જીવન જીવી રહ્યા હતા. પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ડરથી યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાનઆ ડરને કારણે સંગીતાબેને ગઈકાલે (26 નવેમ્બર) સવારે લગભગ આઠેક વાગ્યાના અરસામાં તેમના પતિ ગિરીશભાઈને બાળકી માટે બિસ્કિટ લેવા બજારમાં મોકલ્યા હતા. ગિરીશભાઈ બજારમાંથી દૂધ, બિસ્કિટ અને પાપડી લઈને પાછા ફર્યા ત્યારે તેમને પત્ની સંગીતાબેન અને દીકરી હંસિકા ઘરમાં જોવા મળ્યા નહોતા. ગિરીશભાઈએ શોધખોળ શરૂ કરતાં ઓરડીની પાછળ આવેલા પાણીના હોજમાં તેમની 8 માસની દીકરી હંસિકા પાણીમાં મૃત્યુ પામેલી હાલતમાં તરતી મળી આવી હતી. પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈ ગિરીશભાઈ ગભરાઈ ગયા અને તરત જ પત્ની સંગીતાબેનને શોધવા લાગ્યા. લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ફાંસો ખાધોઆજુબાજુ તપાસ કરવા છતાં સંગીતાબેનની કોઈ ભાળ ન મળતાં ગિરીશભાઈ નજીકમાં રહેતા તેમના કાકા પાસે પહોંચ્યા અને સમગ્ર હકીકત જણાવી. ગિરીશભાઈ અને તેમના કાકાએ સાથે મળીને સંગીતાબેનની શોધખોળ આદરી. આજુબાજુના ખેતરોમાં તપાસ કરતાં, નજીકના જ એક ખેતરમાં આવેલા લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં સંગીતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂઆ કરુણ બનાવની જાણ થતાં સંખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બાળકી અને મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ભયના કારણે આ યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:42 pm

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા મકાનવાળા પરિવારો માટે સ્વયં-સર્વેની તક:દાહોદ જિલ્લામાં 30 નવેમ્બર સુધી 'આવાસ+ 2024' એપ ખુલ્લી, કાચા મકાનવાળા પરિવારો જાતે જ સર્વે કરીને લાભ મેળવી શકશે

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કાચા મકાન કે ઝૂંપડા ધરાવતા ગરીબ પરિવારો માટે મહત્વની જાહેરાત કરી છે. અગાઉના સર્વેમાં રહી ગયેલા તમામ પાત્ર પરિવારોને લાભ મળે તે માટે આવાસ+ 2024 મોબાઈલ એપ દ્વારા સ્વયં-સર્વેની સુવિધા ફરી ખોલવામાં આવી છે. આ સુવિધા ફક્ત 27 થી 30 નવેમ્બર 2025 સુધી ચાર દિવસ માટે ઉપલબ્ધ રહેશે. લીમખેડા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવતે જણાવ્યું હતું કે, અગાઉના સર્વેમાં કેટલાક કાચા મકાનવાળા પરિવારો રહી ગયા હતા. સરકારે હવે તેમને ફરી તક આપી છે. આ યોજના હેઠળ કોઈ કર્મચારી ઘરે આવશે નહીં, પરંતુ લાભાર્થીએ પોતે મોબાઈલમાં આવાસ+ એપ ડાઉનલોડ કરીને 30 નવેમ્બર 2025 સુધીમાં સર્વે પૂર્ણ કરવાનો રહેશે. આઈઆરડી શાખાના એમઆઈએસ કો-ઓર્ડીનેટર પી.આર. પટેલે સર્વે પ્રક્રિયા સમજાવતા જણાવ્યું હતું કે, એપ ડાઉનલોડ કર્યા બાદ આધાર નંબરથી લૉગિન કરવું પડશે. ત્યારબાદ કાચા મકાન સાથે પરિવારનો ફોટો, જમીનનો જીઓ-ટેગ્ડ ફોટો અને બેંક ખાતાની સંપૂર્ણ વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. એપમાં જ ઓનલાઈન વેરિફિકેશન અને ડુપ્લિકેટ ચેકિંગની પ્રક્રિયા થશેઆ સુવિધા ફક્ત એન્ડ્રોઇડ મોબાઈલમાં જ ઉપલબ્ધ છે. 30 નવેમ્બર 2025 પછી નવી એન્ટ્રી બંધ થઈ જશે. મદદ માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતનો સંપર્ક કરી શકાય છે. કાચું છાપરું અથવા મકાન ધરાવતા તમામ ગરીબ પરિવારોને આ તકનો લાભ લેવા લીમખેડા ના તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવત દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:31 pm

શામળાજીના વાદીયોલમાં ખેડૂતોને ખાતર માટે રઝળપાટ:પિયતના સમયે યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો ચિંતિત, મહિલાઓ પણ લાઈનમાં

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખાતર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાદીયોલ ગામે પણ યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. હાલમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે અને પાકને પાણી આપવાનો સમય થયો છે. આ સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહે છે. ઘરના કામકાજ છોડીને મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં જોડાઈ રહી છે. સવારથી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ અનેક ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતોની માંગ છે કે તેમને સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેમના પાકને નુકસાન ન થાય.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:28 pm

રાજકોટવાસીઓ સાવધાન:શહેરનાં કોર્પોરેશન ચોક, જામટાવર ચોક સહિત પાંચ વિસ્તારોમાં AQI 300ને પાર, જાણો હવામાં પ્રદુષણનાં કારણો અને ઉપાય

રાજકોટવાસીઓ માટે હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે, કારણ કે વિકાસની સાથે સાથે શહેરની હવા પણ ઝેરી બની રહી છે. રાજકોટમાં દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ગયો છે, જે હવાની ગુણવત્તાને 'સામાન્ય ખરાબથી વધુ ખરાબ' શ્રેણીમાં મૂકે છે. સૌરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તાર, જામ ટાવર, નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી સહિત શહેરના પાંચ વિસ્તારોમાં AQI 300થી વધુ નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારો જોખમી બની ગયા છે. અહીં દિવસ દરમિયાન કેટલાક કલાકો માટે તો પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ રહે છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના 20 અલગ-અલગ વિસ્તારોમાં દર બે કલાકે હવા પ્રદૂષણના આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે. આમાંના કેટલાક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સરેરાશ 75 થી 125 પોઇન્ટને બદલે કાયમ 150 થી 175થી વધુ એવરેજમાં નોંધાયું છે. જેમાં સૌરઠિયા વાડી નજીક સૌથી વધુ 322 પોઇન્ટ, મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં 312 પોઇન્ટ, જામટાવર ચોકમાં 312 પોઇન્ટ, નાનામૌવા સર્કલ પાસે 310 પોઇન્ટ અને રામાપીર ચોકડીએ 306 પોઇન્ટનો મહત્તમ AQI જોવા મળે છે. આંકડાઓ દર્શાવે છે કે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), રાજકોટના પ્રાદેશિક અધિકારી, ટી.કે લકુમએ આ પ્રદૂષણના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે શિયાળાના સમયમાં તાપમાનના ઘટાડાને કારણે થતા ઇન્વર્ઝનને લીધે નીચેના સ્તરે પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોય છે. જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ઊંચો આવ્યો છે, તે બધા ટ્રાફિકલ એરિયા છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં, પરંતુ મુખ્યત્વે વાહનોની અવરજવર અને રોડ ડસ્ટને કારણે પ્રદૂષણ વધી રહ્યું હોવાનું કહી શકાય. શહેરના મુખ્ય માર્ગો પર મહત્તમ ટ્રાફિક, અવારનવાર ટ્રાફિક જામ થવો અને ટ્રાફિક નિયંત્રણનો અભાવ હવા પ્રદૂષિત થવાના મુખ્ય કારણો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે રાજકોટ મનપા દ્વારા નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ ઈબસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, સઘન વૃક્ષારોપણ અને રોડ-રસ્તાઓના રિપેરિંગ જેવા કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. લકુમે પ્રદૂષણ ઘટાડવા માટે જનજાગૃતિને સૌથી જરૂરી ગણાવી હતી. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને શિયાળામાં તાપણા કરવા કે રોડ સાઇડ પર કચરો સળગાવવાનું ટાળવા અપીલ કરી છે. રાજકોટ શહેરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને વસતીની સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. એક પરિવારમાં સામાન્ય રીતે બે-ત્રણ વાહનો હોવા સામાન્ય બની ગયું છે. મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી મુજબ વર્ષ 2018-19માં રાજકોટમાં 5,84,37 વાહનોનો અંદાજ હતો. જોકે, આરટીઓ દ્વારા 2023માં પોલીસ વિભાગ સાથેની બેઠકમાં રાજકોટ જિલ્લામાં 30 લાખ વાહનો હોવાનું જણાવાયું હતું. શહેરના રસ્તાઓ ટૂંકા, સાંકડા અને દબાણયુક્ત હોવાથી વાહનો વારંવાર ટ્રાફિકમાં અટવાય છે, જેના કારણે ધુમાડાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો શહેરમાં વાહનોની સરેરાશ ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે, અને આંતરિક શેરીઓમાં જંકશનોને કારણે આ ગતિ 10 કિમી પ્રતિ કલાક સુધી ઘટી જાય છે. જેના કારણે પણ પ્રદુષણમાં વધારો થાય છે. રાજકોટમાં હવા પ્રદુષિત થવાનાં કારણો - માર્ગો પર મહત્તમ ટ્રાફિક રહે છે - અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે - ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને નિયમનનો અભાવ રાજકોટમાં જોવા મળે છે - ગ્રિન કવર એટલે કે, વૃક્ષ આચ્છાદિત માર્ગો ઓછા છે હવાનું પ્રદૂષણ કેટલું સારું કેટલું ખરાબ? શુન્ય થી 50 પોઇન્ટ: ખુબ જ સારું (જે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં, જંગલ વિસ્તારમાં કે હિલ સ્ટેશન પર હોય છે) 51થી 100 પોઇન્ટ: સંતોષકારક 101થી 200 પોઇન્ટ: એવરેજ ( સારૂં પણ નહીં ખરાબ પણ નહીં) 201થી 300 પોઇન્ટ: ખરાબ 301થી 400 પોઇન્ટ : સામાન્યથી વધુ ખરાબ 401થી 500 પોઇન્ટ: ખુબ જ ખરાબ, અતિ ગંભીર

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 3:10 pm

જામનગર કોંગ્રેસની દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ રેલી:કલેક્ટર-SPને રજૂઆત કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જામનગર જિલ્લામાં ચાલતા દારૂ અને ડ્રગ્સના વેપલાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવાની રજૂઆત કરી હતી. પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાની હેઠળ, કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિવિધ દુષણો ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂ, ગાંજા અને ડ્રગ્સ જેવા દુષણો વધી રહ્યા છે, અને સંબંધિત અધિકારીઓની કથિત મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ આવા હાટડા ધમધમી રહ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે તેમનો વિરોધ થઈ રહ્યો હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું. આવેદનપત્રમાં મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારીની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે નશાબંધીના કાયદાનું સાચી રીતે અને કડકપણે અમલ કરવા, નશાનો બેરોકટોક વેપલો બંધ કરવા અને ગુજરાતના યુવાધનને બચાવવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસ પક્ષે તમામ ઈમાનદાર અને કાર્યક્ષમ પોલીસકર્મીઓને બિરદાવવાની સાથે, લાંચિયા, હપ્તાખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ કોંગી સાંસદ વિક્રમ માડમ સહિત કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:46 pm

ટુ વ્હીલર નંબર માટે નવી સિરીઝ:વડોદરા RTO દ્વારા ટુ-વ્હીલર માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઈ-ઓક્શન શરૂ થશે, કઈ રીતે મેળવશો પસંદગીનો નંબર જાણો

વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની નવી સિરીઝ GJ06SN ના નંબરો માટે આગામી તારીખ 02/12/2025થી ઈ-ઓક્શન શરૂ થશે. ઈચ્છુક વાહન માલિકો પોતાના ટુ-વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fency પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઈ-ઓક્શનની મહત્વની તારીખો અને સૂચનાઓ - રજિસ્ટ્રેશન અને અરજીનો સમયગાળો: 02/12/2025 બપોરે 4:00 વાગ્યાથી 04/12/2025 બપોરે 3:59:59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન અને અરજી કરવાની રહેશે. - બિડિંગનો સમયગાળો: 04/12/2025 બપોરે 4:00 વાગ્યાથી 06/12/2025 બપોરે 4:00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે. - મહત્વની સૂચના: ફક્ત એવા અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે કે જેમના વાહનના સેલ લેટરની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવવામાં આવ્યું હશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે http://parivahan.gov.in/fency પર મુલાકાત લો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:42 pm

ભુજમાં ઓટો સ્પેર પાર્ટ્સની દુકાનમાં આગ લાગી:લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ, ફાયરની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ભુજ શહેરના ભીડભાળથી અતિ વ્યસ્ત રહેતા સ્ટેશન રોડ પર આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહિંના જાહેર માર્ગે આવેલી કૃપા ઓટો પાર્ટ્સ નામની દુકાન અને તેના ઉપરના ગોડાઉનમાં આજે ગુરુવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના બનાવથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટના અંગેની જાણ તંત્રમાં કરાઈ હતી. જેના પગલે કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ અંગે ફાયર વિભાગની ટીમે જાહેર કરેલી વિગતો મુજબ આજે સવારે આગ લાગી હતી. ઇમરજન્સી કોલ મળતા બનાવ સ્થળે આગ બુઝાવની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. ભુજ ફાયર બ્રિગેડને સવારે 7:45 વાગ્યે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના જિગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા, ઈસ્માઈલ જત, જય ઠક્કર, રુદ્ર જોશી અને મોહન રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. આગમાં થયેલી નુકસાની અને કારણ જાણવા દુકાન માલિક કુલદીપ કાંતિલાલ ગોરનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી ન હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:39 pm

બનાસકાંઠાના પેન્શનરો કલેક્ટર કચેરીએ એકઠા થયા:લઘુતમ પેન્શન રૂ. 7500 કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠાના પેન્શનરો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. તેમણે EPS પેન્શનરોનું લઘુતમ પેન્શન રૂ. 1000- રૂ. 2000થી વધારીને રૂ,7500 કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. નિવૃત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત EPS કર્મચારી પેન્શનરોએ આ માંગ કરી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી લઘુતમ પેન્શનની રકમમાં વધારો કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. જિલ્લાના પેન્શનરો દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી છે, છતાં તેમની માંગણીઓ પૂરી થઈ નથી. સેવા નિવૃત કર્મચારીઓનું કહેવું છે કે, હાલમાં મળતા પેન્શનથી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. ઘર ખર્ચ પણ નીકળતો નથી અને વૃદ્ધાવસ્થાને કારણે તેઓ બીજે ક્યાંય કામ કરી શકતા નથી. પેન્શનરોએ જિલ્લા કલેક્ટર, શ્રમ રોજગાર મંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે વહેલી તકે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી, અન્યથા આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે પ્રતાપરાય, GSRTC ડેપો મેનેજર વર્ષ 2006 ની અંદર નિવૃત્ત પેન્શનરે જણાવ્યું હતું કે, ઇપીએસ-95 કેન્દ્ર સરકારની યોજના 1995 થી છે, એમાં અમે 1995થી સંકળાયેલા નિવૃત્ત પેન્શનરો છીએ અને અમારી રજૂઆત એ છે કે, અમને 1995થી આજ દિવસ સુધી અને જ્યાં સુધી અમારું મૃત્યુ થાય ત્યાં સુધી અમને 1,000 થી શરૂ કરી ન્યૂનતમ 3,500 પેન્શન મળે છે, એ પેન્શનથી જીવન નિર્વાહ કરી શકાય એમ નથી. એટલે એ વધારવા માટે અમે છેલ્લા 15 વર્ષથી અમારી રજૂઆતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ છીએ. વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આવા પેન્શનરોની સંખ્યા 10 લાખ જેટલી છે. ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને ન્યૂનતમ પેન્શન 9,000 મળે છે, એનાથી અમને આનંદ છે. કેન્દ્ર સરકારના કર્મચારીને 2016 થી ન્યૂનતમ પેન્શન મળે છે, એનાથી પણ અમને આનંદ છે. અમારો કોઈ વિરોધ નથી. પણ અમે અમે અમારી જિંદગીના 36 થી 40 વર્ષ દેશને સમર્પિત કર્યા છે, ત્યારે અત્યારે અમારી પરિસ્થિતિ જે છે એ 1,000 થી 3,500 માં સાવ મામૂલી અને નિર્માલ્ય છે. એનાથી અમારે જીવન કેમ ચલાવવું . અમારા બાળકો પણ અમને સંઘરી શકતા નથી. વૃદ્ધાશ્રમમાં પણ અમને સ્થાન મળતું નથી. અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય અને કષ્ટદાયક છે. આ અંગે અમે મુખ્યમંત્રી, વડાપ્રધાન, શ્રમ મંત્રી અને નાણા મંત્રીને અનેક વખત રજૂઆત કરી છે. અનેક સાંસદોએ અમારી વાચા ત્યાં સુધી પહોંચાડી છે. પણ અમને નડે છે EPFOનું તંત્ર. એ અમારી બાબતમાં અમારા વિરોધી છે, સરકારમાં સાચી રજૂઆત કરતા નથી, અને EPF મારફત અમને જે પેન્શન ચૂકવવામાં આવે છે, એટલે EPFO એ હવે ધ્યાન રાખીને અમારા બાબતમાં કંઈક વિચારણા કરવી પડશે. સરકારે પણ અમારા મારફત વિચારણા કરવી પડે, એટલા માટે અમે અમારો અવાજ પહોંચાડવા માટે અહીં ભેગા થયા છીએ.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:33 pm

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી:વલસાડથી રોડ માર્ગે સુરત જવા રવાના, એરપોર્ટથી મહારાષ્ટ્ર જશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓએ સુરતથી વલસાડ સુધીના NH-48 ઉપર ચોમાસામાં બિસ્માર રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેઓ વલસાડના રોલા ગામથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થવાના હતા. જોકે, હેલિકોપટરમાં ટેકઓફ સમયે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા છે, જ્યાંથી મહારાષ્ટ્ર જશે. સુરત બાદ વલસાડની મુલાકાત કરીગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે હતા. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત બાદ વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ–ગોંડલ–જેતપુર તથા અમદાવાદ–ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરાં થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો. 20 હજાર કરોડની મંજૂરી આપીમુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:28 pm

ડ્રગ્સ કેસનો ફરાર આરોપી ઝડપાયો:માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના NDPS કેસનો બે વર્ષથી ફરાર આરોપી મહમદ અદનાન ઉર્ફે ડાડો શેખ વાપી માંથી SOGના હાથે ઝડપાયો.

ગુજરાતમાં યુવાનોના જીવનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ જેવા નશાનો કાળો કારોબાર દિવસેને દિવસે ફેલાઈ ર હ્યો છે, જેને ડામવા માટે રાજ્ય પોલીસ સક્રિય બની છે. જુનાગઢ રેન્જમાં પણ લાંબા સમયથી ગુના આચરીને ફરાર રહેલા આરોપીઓને ઝડપી લેવા માટે રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.જેને લઈ જુનાગઢ એસ.ઓ.જી. દ્વારા આવા ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.​ એસ.ઓ.જી. જુનાગઢના પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધવા અલગ અલગ ફિલ્મો બનાવી કામે લાગી હતી.તે દરમિયાનમાં, એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસના ગુનાનો આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર છે.​ એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી કે આ વોન્ટેડ આરોપી આરોપી મહમદ અદનાન ઉર્ફે ડાડો અહમદ શેખ વાપી ટાઉન જી.આઇ.ડી.સી. વિસ્તાર ખાતે છુપાયેલો છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તુરંત વાપી ટાઉન ખાતે ધસી જઈને આ આરોપીને ઝડપી પાડ્યો હતો.​​ આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમારની સાથે એ.એસ.આઇ મહેન્દ્ર કુવાડીયા, રમેશ માલમ, જીતેન્દ્રસીંહ ચૌહાણ, જયેશ બકોત્રા તથા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ વાવેચા અને મયુર ઓડેદરા સહિતના સ્ટાફનો સમાવેશ થયો હતો. પોલીસે પકડાયેલા આરોપી મહમદ અદનાન ઉર્ફે ડાડો અહમદ શેખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં તેની સંડોવણી અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:21 pm

મેવાણીના સમર્થનમાં રાજકોટમાં મોરચો નિકળ્યો:દારૂ - ડ્રગ્સના વેચાણના વિરોધમાં ઉતરેલા વડગામ MLA ના અવાજને સંઘવી દબાવતા હોવાનો આક્ષેપ, નારેબાજી સાથે કલેકટર મારફત રાજ્યપાલને રજૂઆત

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તરફેણમાં આજે રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દારૂ - ડ્રગ્સ બંધ કરો, ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખો તેવી નારેબાજી કરવામાં આવી હતી તો 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા માટે પોલીસ પરિવાર અને બુટલેગરો મારફત રજૂઆતો કરાવે છે તે નિંદનીય છે. જેથી ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને પ્રતિભુતિ સાથે રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેકટર મારફત રાજ્યપાલને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં વધતા દારૂ, ડ્રગ્સ, નશીલા પદાર્થો તેમજ તેની પાછળ રહેલી પોલીસની શંકાસ્પદ ભૂમિકા વિષે અત્યંત ગંભીર મુદ્દાઓ ઉપર જાહેર મંચો પર ઉઠાવ્યા છે.મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નો રાજ્યના યુવાનોના ભવિષ્ય, કાયદો અને વ્યવસ્થા, તથા સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અત્યંત જરૂરી અને લોકહિતમાં છે. પરંતુ દુઃખ સાથે નોંધવું પડે છે કે આ મુદ્દાઓ ઉઠાવ્યા બાદ ગૃહમંત્રી સહિત પોલીસે વિરોધરૂપ રજુઆતો કરી ધારાસભ્ય પર દબાણ લાવવાનો અત્યંત બેહૂદો અને સભ્ય સમાજને છાજે નહીં તેવો પ્રયાસ કરાયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતના નાગરિકોના મતે ગુજરાતના હાલના તમામ ધારાસભ્યો જો ગુજરાત બહાર જાય તો તેઓની ઓળખ સીમિત થઈ જાય એમ છે.જ્યારે જીજ્ઞેશ મેવાણીની ઓળખ એક આંતરરાષ્ટ્રીય સ્તરની છે. જેથી તેઓનું સન્માન જળવાય તેના માટે મેટ્રિક પાસ પણ ન હોય તેવા માણસો સવાલો ઉઠાવે ત્યારે ગુજરાતને ધક્કો અને ઠેસ પહોંચે છે. મેવાણી દ્વારા ઉઠાવેલા પ્રશ્નો પુરાવા આધારિત, લોકહીતકારી અને જનવિભાગના કલ્યાણ માટેના જ રહ્યા છે.ઘણીવાર તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી ગુજરાતના નાગરિકોના કલ્યાણ માટે હુકાર ભરતા રહે છે. કોઈપણ જનપ્રતિનિધિએ ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂ-ડ્રગ્સ માફિયા અને સંકળાયેલા તંત્ર પર પ્રશ્ન કરવો એ લોકશાહીનો મહત્વપૂર્ણ ઘટક છે.આવા પ્રશ્નોને દબાવવા બદલે, સરકારે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવી જોઈએ.તેની જગ્યાએ પોલીસ ઉપર દબાણ ઊભું કરી જીજ્ઞેશ મેવાણીની વિરુદ્ધ અપપ્રચાર શરૂ કરાવ્યો છે. જે અત્યંત નિંદનીય અને અકુદરતી પ્રકારનું વર્તન છે. પોલીસ વિભાગનો આ પ્રયાસ ઘાતક છે. આવી રજુઆતનું સ્વરૂપ એક ચૂંટાયેલા પ્રતિનિધિને મૌન કરાવવાનો પ્રયાસ ગણાય શકે છે. જે લોકશાહી વ્યવસ્થાને અનુકૂળ નથી.જેથી અમારી ગુજરાતની જાહેર જનતાને હિતમાં માંગણી છે. જે આ મુજબ છે. 1. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવેલા દારૂ-ડ્રગ્સ સંબંધિત મુદ્દાઓની સ્વતંત્ર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ શરૂ કરાવવા માટે સરકારને ભલામણ કરશો. 2. પોલીસ વિભાગ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવેલી રજુઆતોનું કાનૂની અને નૈતિક મૂલ્યાંકન કરીને તેનો હેતુ અને નક્કરતા અંગે તપાસ કરશો. 3. જનપ્રતિનિધિ દ્વારા લોકહિતમાં પૂછાયેલા પ્રશ્નોને રાજકીય દબાણ કે શાસકીય પ્રતિક્રિયા દ્વારા દબાવવામાં ન આવે તે માટે માર્ગદર્શિકા/સૂચનાઓ જારી કરવામાં આવે. 4. રાજ્યમાં દારૂ-ડ્રગ્સના નેટવર્ક, તેના સંરક્ષકો અને સંકળાયેલા અધિકારીઓ અંગે ખાસ મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરાવવા સુચના કરવામાં આવે. 5. હાલમાં ચૂંટણીપંચ દ્વારા મતદારી યાદીની કામગીરી ચાલુ કરેલ છે જેમાં BLO ને મોટી જવાબદારી આપવામાં આવેલી છે,ઘણા સમયથી BLO ની હેરાનગતિઓ અંગે પ્રચાર માધ્યમોમાં અહેવાલો પ્રગટ થયેલા હતા જેમાં સરકાર બરબર ભીંસમાં આવી ગયેલ હતી તે મુદ્દાને ડાયવર્ટ કરવા ગૃહમંત્રી દ્વારા પોલીસ પરિવારનો દુરુપયોગ કરીને મુદ્દા દબાવવાનો પ્રયત્ન કરવા માંગે છે. 6. ગૃહમંત્રી દ્વારા જાહેર સોગંદનામું આપવામાં આવે કે, બનાસકાંઠા સહિત રાજ્યના કોઈપણ જિલ્લામાં તેમજ મારા પોતાના મતવિસ્તારમાં દારૂ અથવા ડ્રગ્સના નેટવર્કને હું, મારું મંત્રાલય અથવા કોઈપણ તંત્ર સીધી અસીધી રીતે પ્રોત્સાહન આપતો નથી. આ જાહેર સ્પષ્ટીકરણ પારદર્શક શાસન અને જનવિશ્વાસ બંને માટે અનિવાર્ય છે. 7. જો મિસ્ટર હર્ષ સંઘવીને પોલીસ પરિવારની ખરેખર ચિંતા હોય તો હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ રેન્ક માટે યુનિયન બનાવવાની કાયદેસર મંજૂરી આપવામાં આવે. જેથી તેઓને તેમના અધિકારો, પડકારો અને વહીવટી અન્યાયને પ્રત્યક્ષ રીતે રજૂ કરવાની લોકશાહી સુવિધા મળે.અરજદારોને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યપાલ આ સંપૂર્ણ મામલાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને લોકહિતને અનુરૂપ જરૂરી વહીવટી કાર્યવાહી કરશે અને સરકાર સમક્ષ યોગ્ય પ્રતિભૂતિ સાથે રજૂઆત કરશે. આવી કાર્યવાહીથી ગુજરાતની લોકશાહી વધુ મજબૂત બનશે અને નાગરિકોના અધિકારોનું રક્ષણ થશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 2:19 pm

મોરબી: ઋષભનગરના રહીશોએ પાણી માટે રામધૂન કરી:ત્રણ વર્ષથી પાણી ન મળતાં મહાપાલિકામાં રજૂઆત; ડેપ્યુટી કમિશનરે તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી

મોરબીના ઋષભનગર સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ મહાપાલિકા કચેરીએ રેલી યોજી રામધૂન કરી હતી. સનાળા રોડ પર આવેલી ઋષભનગર સોસાયટીમાં પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ અંગે અગાઉ નગરપાલિકા અને ત્યારબાદ મહાપાલિકામાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો ન હતો. પાણીના પ્રશ્ને રોષે ભરાયેલા સપનાબેન કાવર, પ્રભાબેન શાંતિભાઈ અને કવિતાબેન ભાટિયા સહિતની મહિલાઓ અને અન્ય રહીશોએ પોતાની સોસાયટીથી મહાપાલિકા કચેરી સુધી વાજતે-ગાજતે રેલી કાઢી હતી. કચેરી ખાતે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી, મહિલાઓએ 'શ્રીરામ જય રામ જય જય રામ'ની ધૂન અને 'રસિયો રૂપાળો પાણી આપો ઘેર જાવું ગમતું નથી' જેવા ફટાણા ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ રજૂઆત સાંભળી હતી. તેમણે એકાંતરા પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. સોનીએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે નવી પાઇપલાઇનનો પ્રોજેક્ટ સરકારમાંથી મંજૂર થઈ ગયો છે અને મોરબીના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારને પણ નિયમિત અને પૂરતું પાણી મળશે. કાનજીભાઈ સંઘાણી સહિતના રજૂઆતકર્તાઓએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કચેરી છોડીને ઘરે ન જવાનો નિર્ધાર કર્યો હતો. આથી, રજૂઆત કરવા આવેલા લોકો માટે આગેવાનો દ્વારા મહાપાલિકાના પટાંગણમાં પૂરી, શાક અને ગાંઠિયાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લોકોએ લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:58 pm

ડાઈંગ ડેકલેરેશનમાં બેદરકારી દાખવનાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો HCએ ઉધડો લીધો:દહેજના કેસમાં ફિનાઇલ પીનાર મહિલાનું નિવેદન લેવા ગયા નહીં અને કહ્યું-મરણ પથારીએ આવે તો જણાવજો

અમદાવાદમાં પરિણીતાએ કરેલી આત્મહત્યાની કોશિશના મામલામાં ડાઈંડ ડેકલેરેશન લેવામાં ગંભીર બેદરકારી દાખવનારા એક્ઝિક્યુટિવી મેજિસ્ટ્રેટનો હાઈકોર્ટે શાંતિપૂર્વક ઉધડો લીધો હતો. કોર્ટે અઠવાડિયામાં ખુલાસો માગ્યો છે અને કહ્યું છે કે, જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીતુકમારને કોર્ટમાં બોલાવવામાં આવશે. કોર્ટે એ પણ નોંધ્યું કે, પોતાના કેરિયરમાં આવી વર્તણૂંક ક્યારેય જોઈ નથી. પરિણીતાએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ મરણોન્મુખ લેવામાં ગંભીર બેદરકારી દાખવીસોલા હાઇકોર્ટ પોલીસ મથકે સપ્ટેમ્બર મહિનામાં દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત 30 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ રદ્દ કરવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતાં, તેને બે સંતાન પણ છે. મહિલા અને તેના સાસરિયા મૂળ સુરેન્દ્રનગરના છે, પરંતુ મહિલાનું સાસરું મહેસાણા અને પિયર અમદાવાદમાં છે. આ કેસમાં મહિલાને દહેજની માંગ સાથે સાસુ અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેને પિયરમાં આવીને ફિનાઇલ પીધું હતું. જેથી તેની માતાએ 108 મારફતે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાએ આત્મહત્યાની કોશિશ કરતા સોલા પોલીસના તપાસ અધિકારીએ હોસ્પિટલમાં પહોંચીને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને ડાઇંગ ડેક્લેરેશન લેવા યાદી મોકલી આપી હતી. જેમાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સહદેવ સગરને તેનું ડાઇંગ ડેક્લેરેશન લેવા જવાનું હતું. પરંતુ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે હોસ્પિટલમાં જઈને ડાઇંગ ડેક્લેરેશન લેવાની જગ્યાએ ઓફિસમાં બેસીને જ એન્ડોર્સમેન્ટ આપ્યું હતું કે મહિલાનું ડાઇંગ ડેક્લેરેશન નોંધવાની જરૂર નથી. તે મરણ પથારીએ નથી, વળી હોસ્પિટલને જણાવ્યું હતું કે જો મહિલા મરણ પથારીએ આવે તો મેજિસ્ટ્રેટને જાણ કરવામાં આવે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેક દ્વારા કોર્ટ સમક્ષ માફીની માગ કરવામાં આવીઆ અંગે હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને કોર્ટમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા હુકમ કર્યો હતો. જ્યાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું હતું કે તે હોસ્પિટલમાં રૂબરૂ ગયા નહોતા અને તેમને માફ કરવામાં આવે. જો કે હાઈકોર્ટે શાંતિપૂર્વક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. સાથે જ આવા અસંવેદનશીલ લોકોને, આવી સંવેદનશીલ કામગીરી સોંપવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તેઓએ કદી પોતાના કેરિયરમાં આવી વર્તણૂક જોઈ નથી. સુનાવણી દરમિયાન કોર્ટે ગંભીર સવાલ ઉઠાવ્યોહાઇકોર્ટે કહ્યું હતું કે એ તો સારું છે કે મહિલા જીવિત છે, જો તે મૃત્યુ પામી હોય તો શું થાત ? કોર્ટનું કાર્ય નિર્દોષને સજા થાય નહીં તે જોવાનું છે, સાથોસાથ ગુન્હેગાર છટકી ન જાય તે પણ જોવાનું છે. હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને પોતાની આ કામગીરી ઉપર એક અઠવાડિયામાં ખુલાસો આપવા કહ્યું છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારને કોર્ટમાં બોલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:56 pm

વડોદરામાં કિશોરનો આપઘાત:વડોદરામાં ધોરણ 12માં અભ્યાસ કરતા 17 વર્ષીય કિશોરનો ગળેફાંસો ખાઇ આપઘાતા, મોતનું કારણ અકબંધ

વડોદરા શહેરમાં દિન પ્રતિદિન આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સીટો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેદમાતા ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ગોવિંદભાઈ વણઝારા (ઉંમર વર્ષ 17) આજે વહેલી સવારે કિશોરે પોતાના ઘરમાં પંખા પર સાડી વડે ગળેફાંસો ખાઇ લેતા તાત્કાલિક પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે હાજર તબીબે કિશોરને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. મૃતક કિશોર જીગ્નેશ વણઝારા ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના પરિવારજનોનું કહેવું છે કે તે રાત્રે બહાર ગયો હતો અને ત્યારબાદ આવ્યો હતો. વહેલી સવારે ગળેફાંસો ખાઇ લીધો હતો અને જીવન ટૂંકાવ્યું હતું. આ શા માટે કર્યું તે બાબતે હાલમાં પરિવાર અજાણ છે. આ મામલે હાલમાં સિટી પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરનાર સિટી પોલીસ મથકના અધિકારી વિજયભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં આ કિશોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેને આ પગલું શા માટે ભર્યું તે બાબતે હાલ પરિવાર અજાણ છે. પરંતુ તેનો મોબાઈલની FSL તપાસ કરવામાં આવશે જો તેમાં કઈ જાણશે તો કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:54 pm

પાટડીની સેડલા શાળાના 197 વિદ્યાર્થીઓ માત્ર બે શિક્ષકના ભરોસે:શિક્ષકોની અછતને કારણે ગ્રામજનોમાં ભારે રોષ, 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો શાળાને તાળાબંધીની ચીમકી

પાટડી તાલુકાની સેડલા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 197 વિદ્યાર્થીઓ માત્ર બે શિક્ષકોના ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોની આ ગંભીર અછતને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. શાળામાં કુલ પાંચ શિક્ષકોનું મહેકમ છે, પરંતુ તેમાંથી બે શિક્ષકો બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે અને એક શિક્ષક BLO સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આથી, વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર બે જ શિક્ષકો ઉપલબ્ધ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. થોડા સમય અગાઉ સેડલા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પંચાયતની રજૂઆત મુજબ, શાળામાં 215 વિદ્યાર્થીઓ માટે 8 શિક્ષકો અને 1 આચાર્ય સહિત 9 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે. જોકે, છેલ્લા છ મહિનાથી માત્ર પાંચ જ શિક્ષકો કાર્યરત હતા. તેમાંથી પણ એક શિક્ષિકા 31 મે, 2025ના રોજ નિવૃત્ત થવાના છે, જેના કારણે કાર્યરત શિક્ષકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. સેડલા ગામના સરપંચ મોબતખાન મલેકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 1 થી 5 માં ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે અને બે શિક્ષકોની ઘટ છે, જ્યારે ધોરણ 6 થી 8 માં બે શિક્ષકો ફરજ બજાવે છે અને એક શિક્ષકની ઘટ છે. આમ, શાળામાં કુલ ત્રણ શિક્ષકો અને એક આચાર્યની જગ્યા ખાલી છે. સરપંચ મોબતખાન મલેક સહિત ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 15 દિવસમાં આ શિક્ષક અછતની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઢોલ-નગારા સાથે શાળાને તાળાબંધી કરશે, જેથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:50 pm

અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઝડપાયા:પોલીસે ડમી ગ્રાહક મોકલીને દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો, બે દિવસમાં 3 અલગ અલગ સ્પા પર રેડ

અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યા હોવાનું સામે આવતા, પોલીસે છેલ્લા બે દિવસમાં બોપલ આંબલી રોડ, એલિસ બ્રિજ અને આનંદનગર સહિતના વિસ્તારોમાં આવેલા ત્રણ અલગ-અલગ સ્પા પર દરોડા પાડીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણેય કેસમાં મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ 'ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ' હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યોઅમદાવાદના પોશ વિસ્તાર સ્પાની આડમાં કુટણખાના ચાલી રહ્યા છે ત્યારે 2 દિવસમાં પોલીસે 3 અલગ અલગ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કરી હતી. આનંદનગરના હરણ સર્કલ નજીક આવેલા દેવ ઓરમ કોમ્પલેક્ષમાં 'ન્યૂ અરીસ્તા વેલ સ્પા'માં બાતમી આધારે પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. બોડી મસાજની આડમાં ચાલતા આ કુટણખાના બદલ મેનેજર અને ફરાર માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડમી ગ્રાહક મોકલીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યોબીજી તરફ 2 દિવસ અગાઉ સરખેજ પોલીસે બોપલ આંબલી રોડ પર આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પલેક્સમાં 'ધ ઝીરો સ્પા'માં રેડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને અહીં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો અને સ્પા સેન્ટરના મેનેજર સાઉદમીયા શેખ (રહે. ખાનપુર)ની ધરપકડ કરી હતી. મેનેજર અહીં ત્રણ માસથી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્પા સેન્ટરની માલિક ટીના ઉર્ફે કાવ્યા મહેતા (રહે. શ્રીજી બંગ્લો, નારોલ)હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન એક ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાયોએલિસબ્રિજ પોલીસે આંબાવાડીમાં આવેલા શ્રી ક્રિષ્ના કોમ્પલેક્સના 'લેમન આયુર્વેદિક સ્પા'માં રેડ દરમિયાન પોલીસે એક ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્પા સંચાલક અને માલિક પૂજા મખીજાની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બોપલ આંબલી રોડ અને એલિસબ્રિજના સ્પા સેન્ટરના ઓથા હેઠળ કેટલા સમયથી કૂટણખાનું ચાલતું હતું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:44 pm

SIRની ધીમી કામગીરી પર ભાજપની રિવ્યૂ બેઠક:રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરની અધ્યક્ષતામાં ખામીઓ-વિલંબનું વિશ્લેષણ; સમયમર્યાદામાં લક્ષ્ય પૂર્ણ કરવા પદાધિકારીઓને આદેશ

સુરત શહેર ભાજપના મુખ્ય કાર્યાલય, ઉધના ખાતે દક્ષિણ ઝોનના આઠ જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝનની કામગીરીની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ SIRની કામગીરીમાં આવી રહેલી ખામીઓ અને વિલંબનું વિશ્લેષણ કરવાનો હતો. BLOની ધીમી કાર્યવાહી અને ફોર્મ સમયસર જમા ન થવાની રાવઆ બેઠકમાં આઠ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને શહેર ભાજપના પદાધિકારીઓ સહિત વિવિધ અપેક્ષિત સભ્યોનો મત લેવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બોલાવવાનું મુખ્ય કારણ SIRની કામગીરી અંગે મળેલી અનેક ફરિયાદો હતી, જેમાં મુખ્યત્વે કામગીરીની નબળી ગુણવત્તા, BLOની ધીમી કાર્યવાહી અને ફોર્મ સમયસર જમા ન થવાની રાવ સામેલ હતી. આ ઉપરાંત, વિધાનસભા કક્ષાએ સોંપવામાં આવેલી કામગીરીની વહેંચણી અને તેના અસરકારક ફોલોઅપને લઈને પણ પ્રશ્નો ઉભા થયા હતા, જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. તમામ અવરોધો દૂર કરી સમયમર્યાદામાં લક્ષ્ય પૂર્ણ કરવા પદાધિકારીઓને આદેશબેઠકમાં SIR કામગીરીના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, જિલ્લાના પ્રમુખો અને મહાનગરના પ્રમુખો સહિતના તમામ મહત્ત્વના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરે વિધાનસભા કક્ષાએથી કામગીરી સુધારવા માટે સૂચનો મંગાવ્યા હતા અને આખી પ્રક્રિયા ઝડપભેર થાય તે માટે સખત સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા આ ચૂંટણીલક્ષી પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે, તેથી પદાધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કામગીરીમાં આવતા તમામ અવરોધો દૂર કરીને સમયમર્યાદામાં લક્ષ્ય પૂર્ણ કરે. આ બેઠકનો હેતુ નબળી કામગીરીને સુધારીને આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે મજબૂત પાયો નાખવાનો છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:33 pm

બોમ્બની ધમકી આપનાર રેનીના જામીન મંજૂર:હાઈકોર્ટે કહ્યું- અરજદાર સંબંધોને લઈ ડિસ્ટર્બ વ્યકિત, અમદાવાદમાં નોંધાયેલા તમામ કેસમાં જામીન મુક્ત

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં અગાઉ તેને જામીન મળ્યા હતા. જો કે બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે તેને શરતી જામીન આપતા નોંધ્યું છે કે આ બંને કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. વ્યક્તિગત સંબંધોને લઈને રેની એક ડિસ્ટર્બ વ્યક્તિ છે. તે જૂન મહિનાથી જેલમાં છે. રેની પકડાયા બાદ પણ કોર્ટને ધમકીભર્યા મેઈલ મળ્યાની રજૂઆતઉલ્લેખનીય છે કે આ અરજીની સુનવણીમાં રેનીના વકીલ વિશાલ કુમાર તોમરે કોર્ટને જણાવ્યું હતું કે તેને અમદાવદામાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં જામીન મળી ગયા છે. ફક્ત સરખેજ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જામીન મળ્યા નથી. કોર્ટે કહ્યું હતું કે તમે ગુજરાત હાઇકોર્ટને પણ થ્રેટ ઇમેઇલ મોકલ્યો હતો. તમારા કારણે કેટલા લોકો હેરાન થયા. શા માટે સેશન્સ કોર્ટે તમારા જામીન નકાર્યા છે ? અરજદારે જણાવ્યું હતું કે તેના પકડાઈ ગયા બાદ પણ કોર્ટને થ્રેટ ઇમેઇલ મળ્યા છે. નીચલી કોર્ટમાં રેનીની જામીન અરજીમાં તેના વકીલે રજૂઆત કરી હતી કે તેણે અરેસ્ટ કર્યા પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે. રેનીના ઇલેક્ટ્રોનિક ડીવાઈસ પોલીસ પાસે છે. ડાર્ક વેબનો આરોપીઓ કોઈ ઉપયોગ આક્ષેપ પ્રમાણે કર્યો નથી. જામીન અરજીની સુનાવણી સમયે સરકારી વકીલની રજૂઆતસરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં. આ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી. રેની પર 11 રાજ્યોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલવાનો આરોપસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં. આથી આરોપીની જામીન અરજી રદ કરી નાખવી જોઈએ. પોતાના પ્રેમીને બદનામ કરવા માટે તેના નામે ઈમેઈલ કર્યા હતાઆ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી. રેની જોશીલ્ડાનાં માતા શિક્ષિકા અને પિતા ખાનગી કંપનીમાં કર્મચારીગુજરાત સહિત 11 રાજ્યની પોલીસની ઊંઘ ઉડાડી દેનારી રેની જોશીલ્ડા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઘટનાઓને લઈ ધમકીભર્યા ઈ-મેલ કરનાર રેની વર્ક ફ્રોમ હોમ કરતી હતી. તેનાં માતા શિક્ષિકા છે અને પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. IPLના મેચ પૂર્વે મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતીઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 એપ્રિલે IPLની મેચ યોજાય એ પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં એજન્સીઓમાં દોડધામ મચી હતી. ઇ-મેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધર્યું હતું. GCAને જે ઈ-મેલ મળ્યો હતો એ જર્મની-રોમાનિયાથી ઓપરેટ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જીનિવા લિબરલ સ્કૂલમાં બ્લાસ્ટની ધમકી આપી હતીઅમદાવાદમાં IPLની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. શાળાને જે ઈ-મેલ કરવામાં આવ્યો હતો એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. મેલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:20 pm

સંત દોલતરામ બાપુને ત્રીજો ઇન્ડિયન રેકોર્ડ મળ્યો:49 વર્ષમાં 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરવા બદલ સન્માન કરાયું

પાટણ નજીક આવેલા નોરતા ગામના સંત દોલતરામ બાપુને ત્રીજા ઇન્ડિયન રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા 49 વર્ષથી તેમણે પાટણ પંથક સહિત ગુજરાતમાં 11,950 જેટલા સત્સંગ કાર્યક્રમો દ્વારા અંદાજે 5 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત બનાવ્યા છે. આ સન્માન રાજસ્થાનના રણુજા ખાતે ગુજરાતના 150થી વધુ ગામના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રણુજા સ્થિત સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નીતિન ધોતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દોલતરામજી બાપુના આધ્યાત્મિક અને સામાજિક યોગદાનને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. પ્રેસિડેન્ટ ધોતિયાએ જણાવ્યું કે, છેલ્લા 49 વર્ષમાં બાપુએ ગુજરાતના વિવિધ સ્થળોએ, જેમાં પાટણ નજીકના નોરતા, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધામડી, રામદેવરા સહિત અસંખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રામધૂન સાથે કુલ 11,950 જેટલા સત્સંગ કાર્યક્રમો યોજ્યા છે. આ આધ્યાત્મિક મેળાવડાઓ દ્વારા પાંચ લાખથી વધુ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવામાં આવ્યા છે. દોલતરામ બાપુના અનુયાયી રવિરામ મહારાજે જણાવ્યું કે, બાપુને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. પાટણ પંથકના નોરતાના સંત શિરોમણીને આ ત્રીજો ઇન્ડિયન રેકોર્ડ મળતા તેમના લાખો સેવકોએ ગૌરવ અનુભવ્યું છે અને તેમના આધ્યાત્મિક તથા સામાજિક યોગદાનની સરાહના કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 1:18 pm

સોલા સિવિલમાં એક વર્ષમાં ડોગ બાઈટના 17 હજારથી વધુ કેસ:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સૌથી વધુ, વર્ષ દરમિયાન 3,557 નવા અને 13,699 ફોલોઅપ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા આંકડાઓ ચિંતાજનક છે. વર્ષ 2025 દરમિયાન અહીં કુલ 17,226 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. આમાં 3,557 નવા અને 13,669 ફોલો-અપ કેસોનો સમાવેશ થાય છે. ફોલો-અપ કેસો તેઓ છે જેઓને ડોગ બાઇટ બાદ આપવામાં આવતા 4 ડોઝમાંથી બીજા કે બાદના કોઈ ડોઝ માટે હોસ્પિટલમાં આવવું પડે છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:57 pm

સૌરાષ્ટ્રના આર્થિક-આધ્યાત્મિક વિકાસને વેગ મળશે:ઓખા-કાનાલુસ ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્રની લીલીઝંડી મળી, 159 કિલોમીટર લાંબા ડબલ ટ્રેકના નિર્માણ માટે અંદાજિત રૂ. 1,457 કરોડનો ખર્ચ કરાશે

ભારતના આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા ઓખા-કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આર્થિક અને આધ્યાત્મિક વિકાસના નવા દ્વાર ખુલશે. આ 159 કિલોમીટર લાંબા ડબલ ટ્રેકના નિર્માણ માટે અંદાજિત રૂ. 1,457 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જે ક્ષેત્રની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ મહત્ત્વાકાંક્ષી પરિયોજનાનું આયોજન પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે. આ માસ્ટર પ્લાનનો મુખ્ય ઉદ્દેશ સંકલિત આયોજન અને હિતધારકો સાથે પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા વધારવાનો છે. ઓખા- કાનાલુસ વિભાગનું ડબલિંગ કાર્ય માલસામાન, લોકો અને સેવાઓની અવરજવર માટે અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને વડાપ્રધાનના 'નવા ભારત' વિઝનને અનુરૂપ છે, જેનો હેતુ આ ક્ષેત્રમાં વ્યાપક વિકાસ કરવાનો છે. રાજકોટ ડિવિઝનના DRM ગિરિરાજકુમાર મીનાએ આ અંગે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 11 મિલિયન ટનની વધારાની માલ પરિવહન ક્ષમતા વિકસિત થશે. આનાથી ખાદ્ય મીઠા સહિત અન્ય ઔદ્યોગિક વસ્તુઓના માલ પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને સીધો લાભ મળશે. ડબલિંગ કાર્ય પૂર્ણ થવાથી આવનારા દિવસોમાં આ રૂટ પર પેસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. જેના દ્વારા મુસાફરોને વધુ સારી અને ઝડપી સુવિધા મળશે. પર્યાવરણ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટી બચત આ પ્રોજેક્ટ માત્ર આર્થિક જ નહીં, પણ પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે. ડબલ લાઇનના કારણે રેલવેની કાર્યક્ષમતા વધશે, જેના પરિણામે દર વર્ષે 14 કરોડ કિલોગ્રામ CO_2 ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 56 લાખ વૃક્ષો વાવવા બરાબર છે. તો દર વર્ષે આશરે 2.8 કરોડ લીટર ડીઝલની બચત થશે. એટલું જ નહીં લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ દર વર્ષે આશરે રૂ. 311 કરોડનો ઘટાડો થશે. આ બચત રેલવેની ટકાઉપણું અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના લક્ષ્યોમાં મોટો ફાળો આપશે. દેવભૂમિ દ્વારકા વિશ્વના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, અને ઓખા–કાનાલુસ વિભાગ આ પવિત્ર ધામ સુધી પહોંચવાનો મુખ્ય રેલ માર્ગ છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતી વખતે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રના આધ્યાત્મિક અને લોજિસ્ટિક્સ વિકાસને ખાસ ધ્યાનમાં રાખ્યો છે. ત્યારે આ યોજના પૂર્ણ થતા દ્વારકા આવતા તીર્થયાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધાઓ મળશે. આ રેલ લાઇન પ્રવાસીઓની વધતી માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને દ્વારકાના પર્યટનને વધુ પ્રોત્સાહન આપશે. પ્રોજેક્ટની વિગતો અને સ્ટેશન મોડીફીકેશન 159 કિલોમીટર લાંબા આ ડબલિંગ પ્રોજેક્ટમાં જટિલ એન્જિનિયરિંગ કાર્યનો સમાવેશ થાય છે, જેમાં 7 મુખ્ય અને 143 નાના પુલનું નિર્માણ સામેલ છે. આ રૂટ ઉપર આવરી લેવામાં આવેલા કુલ 12 સ્ટેશનોનું મોડીફીકેશન કરવામાં આવશે. આ તમામ સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. જેમાં મીઠાપુર, ઓખા, દ્વારકા, ગોરિંજા, ઓખામઢી, ભાટિયા, ભાટેલ, ભોપલકા,ખંભાળિયા, મોડપુર અને કાનાલુસનો પણ સમાવેશ થાય છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ વધુમાં માહિતી આપી હતી કે, હાલ રાજકોટ-કાનાલુસ વિભાગ (111 કિમી) પર ડબલિંગ કાર્ય રૂ. 1,080 કરોડના ખર્ચે ઝડપથી પ્રગતિ પર છે અને આશરે 70% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્ય જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ઓખા-કાનાલુસ વિભાગનું કાર્ય પૂર્ણ થતાંની સાથે સમગ્ર પશ્ચિમ રેલવેમાં એક મજબૂત અને કાર્યક્ષમ ડબલ લાઇન નેટવર્ક તૈયાર થઈ જશે. ઓખા-કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે પરિવહન, ઉદ્યોગ, તીર્થ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણના મોરચે મોટો બદલાવ લાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:54 pm

ઓખા-કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટ મંજૂર:1457 કરોડના ખર્ચે 159 કિમીનો પ્રોજેક્ટ: દ્વારકા યાત્રા અને લોજિસ્ટિક્સ સુધરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ તાજેતરમાં ઓખા–કાનાલુસ વિભાગના ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પરિયોજનાને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ આયોજિત કરવામાં આવી છે, જેનું મુખ્ય ધ્યાન સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર છે. આ પરિયોજના લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'નવા ભારત'ના વિઝનને અનુરૂપ છે, જેનો હેતુ આ ક્ષેત્રમાં વ્યાપક વિકાસ કરવાનો છે. ​દ્વારકા ક્ષેત્રના આધ્યાત્મિક, આર્થિક અને લોજિસ્ટિક્સ વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દ્વારકા વિશ્વના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, અને દેવભૂમિ દ્વારકામાં આવેલો ઓખાકાનાલુસ વિભાગ આ પવિત્ર ધામ સુધી પહોંચવાનો મુખ્ય રેલ માર્ગ છે. આ રેલ સેક્શન સૌરાષ્ટ્ર ક્ષેત્રની બંદર કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ગતિવિધિઓ માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તે જામનગર અને દ્વારકા જિલ્લાઓમાંથી પસાર થાય છે. મુસાફરો તેમજ માલગાડીઓની વધતી માગને જોતાં આ પરિયોજનાનું મહત્વ વધુ વધી જાય છે. ​159 કિલોમીટર લાંબા આ ડબલિંગ પ્રોજેક્ટની કુલ કિંમત 1,457 કરોડ રૂપિયા છે. આમાં 7 મુખ્ય અને 143 નાના પુલનો સમાવેશ થાય છે અને કુલ 12 સ્ટેશનો—ઓખા, મીઠાપુર, દ્વારકા, ગોરિંજા, ઓખામઢી, ભાટિયા, ભોપલકા, ભાટેલ, ખંભાળિયા, મોડપુર, અને કાનાલુસ—આ રૂટમાં આવરી લેવામાં આવશે. પરિયોજના પૂર્ણ થવા પર દ્વારકા આવતા તીર્થયાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધા મળશે. આ ઉપરાંત, ખાદ્ય મીઠા સહિત વિવિધ વસ્તુઓના માલ પરિવહનમાં પણ મહત્વપૂર્ણ વધારો થશે. આ પ્રોજેક્ટ ઓખા પોર્ટ અને સલાયા પોર્ટ જેવા મુખ્ય આર્થિક કેન્દ્રોને વધુ મજબૂત રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી લગભગ 11 મિલિયન ટન વધારાની માલ પરિવહન ક્ષમતા વિકસિત થશે. તેનાથી દર વર્ષે આશરે 14 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 56 લાખ વૃક્ષો વાવવાની સમકક્ષ છે. સાથે જ, દર વર્ષે 2.8 કરોડ લીટર ડીઝલની બચત અને આશરે 311 કરોડ રૂપિયાની લોજીસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.વર્તમાનમાં રાજકોટ–કાનાલુસ વિભાગ (111 કિમી) પર ડબલિંગ કાર્ય 1,080 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પ્રગતિ પર છે અને આશરે 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જેને જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ક્ષેત્રની કનેક્ટિવિટી, ઉદ્યોગ, પોર્ટ લોજિસ્ટિક, તીર્થ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણમાં મોટો બદલાવ લાવનારો છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:49 pm

ગુડ ટચ-બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:બોટાદની શાળામાં બેટી બચાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનીઓને સુરક્ષા માર્ગદર્શન

બોટાદની શ્રી સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો હતો.કાર્યક્રમનું માર્ગદર્શન બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઇ. આઇ. મન્સૂરી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ચડોતરે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.કાર્યક્રમ દરમિયાન, નિષ્ણાતોએ વિદ્યાર્થીનીઓને 'ગુડ ટચ' અને 'બેડ ટચ' જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે જીવંત ડેમો દ્વારા સમજાવ્યું હતું. આનાથી બાળકીઓ સારા અને ખરાબ સ્પર્શને સરળતાથી ઓળખી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આ પ્રસંગે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની 'શી-ટીમ' દ્વારા તેમની કામગીરી, પેટ્રોલિંગ અને બાળ સુરક્ષા સંબંધિત પગલાં વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને ખાસ કરીને મુશ્કેલીના સમયે 1098 બાળ સહાય હેલ્પલાઇનનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન અપાયું. જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી યોજના, વિધવા સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે પણ વિદ્યાર્થીનીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા, લીલા શાકભાજી, કઠોળ અને દૂધ જેવા પૌષ્ટિક આહારના મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું, તેમજ જરૂર પડ્યે ડોક્ટરનો સંપર્ક કરવા અંગે સચોટ માર્ગદર્શન અપાયું.કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. આ આયોજનમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, શી ટીમ, 181 અભયમ હેલ્પલાઇન, વુમન એમ્પાવરમેન્ટ હબ અને 1098 ટીમ સક્રિય રીતે હાજર રહી હતી. શાળાના સમગ્ર શિક્ષકવૃંદે પણ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં સુરક્ષા, સાવચેતી અને સ્વસંરક્ષણ અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાઈ હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:44 pm

અમદાવાદના MOCHA રેસ્ટોરાંમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યા, VIDEO:નાના બાળક સાથે આવેલો પરિવાર અડધે ભાણે ઉભો થઈ ગયો, AMCએ 25 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસના બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો, તેમાંથી જીવડા નીકળીને ટેબલ પર ફરવા લાગ્યા હતા. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતા આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. રોટલીનું બાસ્કેટ ટેબલ પર મુકતા અંદરથી જીવડાં નીકળ્યાશહેરના પાલડી વિસ્તારમાં અને એડવોકેટનો વ્યવસાય કરનાર દુષ્યંતસિંહ રાઠોડ 18 નવેમ્બરના રોજ તેમના પરિવાર સાથે સીજી રોડ ઉપર આવેલા MOCHA રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તેઓએ જમવાનું ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ રોટલીનો ઓર્ડર રિપીટ કરતા ત્યાંના વેઇટર રોટલી વાંસના બાસ્કેટમાં લઇને લાવ્યા હતા. જે બાસ્કેટ રોટલી સાથે ટેબલ પર મૂકતા વાંસના બાસ્કેટમાં ભરાઈ રહેલા બહુજ બધા જીવડાઓ બાસ્કેટની બહાર નીકળ્યા હતા અને તેઓના જમવાના ટેબલ પર ફરવા લાગ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ગંભીર બેદરકારીદુષ્યંતસિંહે જણાવ્યું હતું કે, મેં રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવી રજૂઆત કરી હતી અને આવી નામચીન મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં આટલી મોટી ગંભીર બેદરકારી કરી રેસ્ટોરન્ટ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ગંભીર બેદરકારી દાખવતા હોવાની રજૂઆત કરી હતી. મેનેજર દ્વારા બીજુ ભાણું મંગાવી દવ છું તેવું જણાવ્યું હતું. બાદમાં ત્યાં મેનેજર પાસે બિલ માંગ્યું તો બિલ પણ આપ્યું નહીં. જે બાદ તેમના કોઈ ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો. બે દિવસ બાદ તમને આવીને મળીશ એવી વાત કરી હતી, પરંતુ કોઈ ફોન આવ્યો નહીં અને તેમને પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પણ સફાઈની ગુણવત્તા અંગે સવાલવધુમાં તેમણે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં આવેલા રસોડામાં તપાસ કરવા માટે હું જતો રહ્યો હતો પરંતુ તરત જ તેમનો સ્ટાફ આવી અને બહાર નીકળો આપણે બહાર વાત કરીએ એમ કહીને રસોડાની પણ તપાસ કરવા દેવામાં આવી ન્હોતી. MOCHA રેસ્ટોરન્ટ ખૂબ જ મોંઘી રેસ્ટોરન્ટ છે, જ્યાં જમવાનું મોંઘુ મળે છે છતાં પણ ત્યાં સફાઈની ગુણવત્તા જળવાઈ નહોતી. જે બાબતે તેમના ઉપરી અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ કરી છે. AMCએ તપાસ હાથ ધરી 25000નો દંડ ફટકાર્યોમ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ફરિયાદ મળતા તેઓએ સીજી રોડ પર આવેલા MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. રસોડા અને હોટલ વગેરે જગ્યાએ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓને રૂપિયા 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મોંઘી અને સૌથી સારી ગણાતી રેસ્ટોરન્ટમાં આવી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:42 pm

ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણી:ડો. બાબાસાહેબ આંબેડકર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર, એસપી સહિતના અધિકારી-પદાધિકારી હાજર રહ્યા

ભારતના બંધારણના મહત્ત્વને યાદ કરવા અને નાગરિકોમાં તેના વિશે જાગૃતિ લાવવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીની સૂચના મુજબ ગાંધીનગર ખાતે સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરની કચેરી દ્વારા સેક્ટર-12 ના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના કાયદા અમલ અને વહીવટી તંત્રના તમામ અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વંદે માતરમનું ગાન કરાયુંઆ કાર્યક્રમની શરૂઆત એક વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થતાં ઉપસ્થિત તમામ અધિકારીગણ, વકીલો, પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સભ્યોએ ઉભા થઈને સામૂહિક રીતે વંદે માતરમ્ ગાન કર્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાનો અને જિલ્લા સરકારી વકીલ હિતેશ એન. રાવલના હસ્તે બાબાસાહેબ આંબેડકરના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરીને બંધારણના નિર્માતાને વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને કચેરીના સભ્યોની મોટી ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બંધારણનું શું મહત્ત્વ છે, અને તેના અમલ માટે પોલીસ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર એકસૂત્રે જોડાયેલા છે. જિલ્લાના ઉચ્ચ્ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાઆ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને પોલીસ વડા એસપી રવિતેજા વાસમ શેટ્ટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગાંધીનગર બાર એસોસિયેશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ લાલસિંહ ગોહિલ અને એમ.એ.સી.ટી. બાર એસોસિયેશનના પ્રમુખ આર.ડી. જાની સહિત ન્યાય જગતના અનેક વરિષ્ઠ વકીલોએ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:41 pm

અમરાઈવાડી વિધાનસભાના 200થી વધુ BLOના ધરણા:ખોખરાની કે. કે. શાસ્ત્રી કોલેજમાં મેપિંગ પ્રક્રિયા મામલે વિરોધ; અધિકારીઓ દબાણ કરતા હોવાનો આક્ષેપ

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLO ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLO દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. બીએલઓ ઓફિસર્સના ધરણા, મેપિંગ પ્રક્રિયા મામલે વિરોધઅમદાવાદ: અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLOs ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLOs દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. પહેલા ASD, હવે 'મેપિંગ'નો બોજપ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ દ્વારા શરૂઆતમાં BLOsને ફક્ત ASD (Absent, Shift, Death) મતદારોના ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, હવે આ કામગીરીમાં મોટો ફેરફાર કરીને તેમને દરેક મતદારનું 'મેપિંગ' કરવાની સૂચના આપવામાં આવી છે. શું છે મેપિંગ?મેપિંગ પ્રક્રિયા અંતર્ગત, BLOને મતદાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની નીચે, 2002ના એસઆઈઆર (Service Identity Register) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર બેઝિક માહિતી ભરીને આપી દે છે, પરંતુ ફોર્મની નીચેની જટિલ 2002ની વિગતો હવે BLOએ જાતે ભરવાની છે. આ પણ વાંચો... વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, 4 દિવસમાં 4નાં મોતઓનલાઈન વિગતો શોધવી બની મુશ્કેલBLOનું કહેવું છે કે, આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમને ચૂંટણીપંચની વેબસાઈટ પર જઈને ઓનલાઈન નામ શોધીને વિગતો ભરવાની હોય છે. આમાં સૌથી મોટી સમસ્યા આઈડેન્ટિફિકેશનની છે. જો કોઈ મતદાર પોતાના માતાનું નામ માત્ર 'કૈલાશબેન' લખાવે, તો BLO જ્યારે ઓનલાઈન ડેટામાં 'કૈલાશબેન' નામ સર્ચ કરે છે, ત્યારે તેમને અનેક સમાન નામો જોવા મળે છે. આવા સંજોગોમાં, ચોક્કસ વ્યક્તિની ઓળખ કરીને 2002ની વિગતો ફોર્મમાં ભરવી એ એક મોટો પડકાર છે. ઓફિસર્સ પર દબાણ અને નોટિસની ધમકીધરણા પર બેઠેલા BLOના જણાવ્યાં અનુસાર, તેમને કામ ઝડપથી પૂરું કરવા માટે વહીવટી અધિકારીઓ તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તમામ બીએલઓ ઓફિસર બપોરે 1:00 વાગ્યા સુધી કે.કે. શાસ્ત્રી કોલેજમાં હોય છે. એક વાગે ફિલ્ડમાં જવા માટે નીકળી જાય છે, બાદમાં બપોરે ત્રણ વાગે કોઈ પણ સંજોગોમાં તેમને કે. કે. શાસ્ત્રી કોલેજમાં હાજર થવા માટે કહેવામાં આવે છે. જો 3 વાગ્યે હાજર ન થાય તો નોટિસ આપવાની ધમકી આપવામાં આવે છે. આવા વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. તેમને વ્હોટ્સએપ ગ્રુપમાં પણ નાયબ મામલતદાર અને મામલતદાર સહિતના અધિકારીઓ ઝડપથી કામ કરવા માટે દબાણ કરે છે.આ પણ વાંચો: દાહોદમાં ચક્કર આવતાં BLO ઢળી પડ્યા: હોસ્પિટલમાં સારવાર ચાલુ, પુત્રએ કહ્યું '4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી' SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો: સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) પાદરામાં BLOની તબિયત લથડી: ચૂંટણી કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાય પાદરામાં ચૂંટણી સંબંધિત SIR કામગીરી કરી રહેલા એક BLOની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને મોડી સાંજે છાતીમાં દુખાવો અને બેચેની થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) કપડવંજમાં SIRની કામગીરીના દબાણ વચ્ચે શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ અહેવાલ વાંચો) આ પણ વાંચો... SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગBLOને પડી રહેલી મુશ્કેલીઓ આ પણ વાંચો... 19 દિવસમાં 6 રાજ્યોમાં 15 બીએલઓના મોત આ પણ વાંચો... ‘BLOની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે’, ‘ધીમી ગતિએ કામ ચાલે છે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, ઝડપી કામ કરવું પડશે’ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:37 pm

ભરુચ LCBનું મોરબીમાં ઓપરેશન:પેરોલ જમ્પ કરીને નવ વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાંખતા હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

ભરૂચના ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા 9 વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો છે. તે 2016થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. ભરૂચ એલ.સી.બી.એ તેને પકડી પાડ્યો છે. રાજ્યમાં પેરોલ અને ફર્લો જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણીની ટીમને માહિતી મળી હતી કે, 2013માં થયેલા સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો આરોપી સચિન પંડ્યા 2016માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ માહિતીના આધારે, એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી. મોરબીમાં સતત રેકી કર્યા બાદ, પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:30 pm

જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો:ભાગીદારોના ઝઘડામાં હત્યાનો પ્રયાસ, 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો થયો છે. આ મામલે હોટલના એક ભાગીદાર સહિત 13 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત એકાઉન્ટન્ટ હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની વિગત મુજબ, જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા, જે વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય 10 અજાણ્યા શખ્સો સામે લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અમિત ચુડાસમા હોટલના બે ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ ભદ્રા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફસાયા હતા. આ વિવાદના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો ત્યારે મિલન હંજળાનો ફોન આવ્યો હતો. ફોન કરનારે અમિત ચુડાસમાને 'કાલથી નોકરી પર નથી જવું' તેવી ધમકી આપી હતી. જ્યારે અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસે બોલાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે અમિત ચુડાસમા ત્યાં પહોંચ્યા ત્યારે કુલ 13 જેટલા આરોપીઓ હથિયારો સાથે ઊભા હતા. તેમણે અમિતને ધાકધમકી આપી નોકરી છોડવા દબાણ કર્યું હતું. જ્યારે અમિતે તેમની વાત ન માની, ત્યારે તમામ આરોપીઓએ તેના માથામાં અને શરીરના જુદા-જુદા ભાગોમાં લાકડીઓ અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા દરમિયાન દેકારો થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવી હતી અને એક ખાનગી વાહન મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ મામલે પોલીસને જાણ થતાં સીટી સી-ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:18 pm

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિરીક્ષણ માટે ગડકરી સુરત પહોંચ્યા:બાય રોડ અને હેલિકોપ્ટરથી એરિયલ સર્વે કરશે, જિલ્લાના બે નેશનલ હાઈવેની પણ સમીક્ષા કરાશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારથી ગુજરાતના પ્રવાસે છે. બુધવારે સાબરકાંઠા અને ગાંધીનગરની મુલાકાત લીધા બાદ આજે સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ, તેઓ તુરંત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરશે. બાય રોડ અને હેલિકોપ્ટરથી એરિયલ સર્વે કરશેગડકરી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે. આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં NH-53 અને NH-48ના લગભગ 100 કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે, જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિલોમીટરના ભાગનું તેઓ હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે કરશે. આ પ્રવાસનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો નથી, પરંતુ તેમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોનો સ્થળ પર જ ઉકેલ લાવવાનો પણ છે. સ્થાનિક જનતા અને ટ્રાફિક નિષ્ણાતોને મંત્રીના આ પ્રવાસથી મોટી અપેક્ષાઓ છે. ખાસ કરીને NH-48 અને એક્સપ્રેસ-વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે ઉભી થયેલી સમસ્યા પર ગડકરી તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે, જેથી ભવિષ્યમાં આ મહત્ત્વપૂર્ણ માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ટાળી શકાય. મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એક વિશેષ બસમાં બેસીને દક્ષિણ ગુજરાતના મહત્ત્વપૂર્ણ હાઇવે પ્રોજેક્ટ્સના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આશરે 10 સીટની ક્ષમતા ધરાવતી આ ખાસ બસમાં તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાસ અધિકારીઓ જોડાયા હતા. મંત્રી ગડકરીનો આ અભિગમ જમીની હકીકત જાણવા માટેનો છે, જ્યાં તેઓ ઓફિસમાં બેસીને નહીં પણ રોડ પર વાહન ચાલકો જેવો અનુભવ મેળવીને રોડની ગુણવત્તાનું મૂલ્યાંકન કરશે. ગડકરી આ બસ દ્વારા હાઇવેની ગુણવત્તા, તેના બાંધકામની મજબૂતી અને તેની સપાટીની સ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાના છે. આ ઉપરાંત, તેઓ ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલાકી અને મુશ્કેલીઓનું જાતે નિરીક્ષણ કરશે, જેમાં ટ્રાફિક જામ, રોડની ખામીઓ, કે અન્ય અવ્યવસ્થિતતા જેવા મુદ્દાઓ સામેલ છે. અધિકારીઓ સાથે બસમાં પ્રવાસ કરીને તેઓ સ્થળ પર જ પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તાત્કાલિક સૂચનો આપશે, જેથી દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારી શકાય અને લોકો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકાય.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:10 pm

બોટાદમાં AIIMS દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ:29 નવેમ્બરે યોજાશે, નાગરિકોને લાભ લેવા અનુરોધ

બોટાદ શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 29 નવેમ્બરના રોજ રાજકોટ AIIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અને ભાજપના આગેવાન પાલજીભાઈ પરમારે શહેર તથા જિલ્લાના નાગરિકોને આ આરોગ્યલક્ષી સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર સુવિધાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે. નાગરિકોને પોતાના આરોગ્યની તપાસ કરાવવા અને આ નિશુલ્ક સેવાઓનો લાભ લેવા માટે સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:08 pm

સુરેન્દ્રનગરમાં માર્ગ સુધારણાના કામ શરૂ:લીંબડી તાલુકામાં રાસ્કા અને ગેડી-પરનાળા રોડનું નવીનીકરણ, ₹2.75 કરોડનો ખર્ચ કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ માર્ગોના રિસરફેસિંગ અને નવીનીકરણના કાર્યો તીવ્ર ગતિથી હાથ ધરવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), સુરેન્દ્રનગર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવાનો હેતુ છે. આ કામગીરીના ભાગરૂપે, લીંબડી તાલુકાના એન.એચ. ટુ રાસ્કા એપ્રોચ રોડનું રૂ. 75 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ નવા રોડ બનવાથી આજુબાજુના ગામના રહેવાસીઓને ખૂબ જ મોટી રાહત અને બહેતર પરિવહન સુવિધા મળી રહેશે. તેવી જ રીતે, લીંબડી તાલુકાના ગેડી થી પરનાળા રોડનું રિસરફેસિંગ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. આ રોડના નવીનીકરણ માટે અંદાજે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બંને રોડના નવીનીકરણથી પરાલી, પરનાળા અને આસપાસના ગામોના રહેવાસીઓને મોટી રાહત મળશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૈનિક પ્રવાસીઓનો સમય અને ઇંધણ પણ બચશે, જેનાથી પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:05 pm

રાજપરા-જોટીંગડા માર્ગનું ડામર કામ શરૂ:મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામજનોને સુવિધા મળશે

બોટાદ તાલુકાના રાજપરા ગામથી જોટીંગડા ગામને જોડતા કાચા માર્ગના ડામરકરણનું કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યથી ગ્રામજનોને નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા યુવા મહામંત્રી જગદીશભાઈ મકવાણાના પ્રયત્નોથી આ માર્ગનું કાર્ય શક્ય બન્યું છે. આ માર્ગ પર ડામર કામ હાલ પ્રગતિમાં છે. તેનાથી રાજપરા અને આસપાસના ગ્રામજનો તેમજ ખેડૂતોને જિલ્લા મથક સુધી પહોંચવામાં સરળતા અને ઓછો સમય લાગશે. આ માર્ગના વિકાસથી ખેતી ઉત્પાદનના પરિવહનને પણ મહત્વપૂર્ણ રાહત મળશે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક સુવિધાઓ વધુ મજબૂત બનશે. સ્થાનિક નાગરિકોએ માર્ગ કાર્યની શરૂઆતને આવકારી જિલ્લાના સંબંધિત નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:04 pm

રાધનપુર હાઈવે પર ચાઈનીઝ દોરીથી શિક્ષક ઘાયલ:ગળામાં 14 ટાંકા આવ્યા, ઉતરાયણ પહેલા પ્રતિબંધિત દોરીનો ઉપયોગ

પાટણના રાધનપુરમાં ઉતરાયણના મહિનાઓ પહેલા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગથી એક ગંભીર ઘટના બની છે. રાધનપુર હાઈવે પરથી બાઇક પર પસાર થઈ રહેલા શિક્ષક નરેશ બારોટ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં તેમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 14 ટાંકા લેવા પડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ઉતરાયણ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, જે રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આદર્શ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ બારોટ પોતાની ફરજ પૂરી કરીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર હાઈવે પરથી પસાર થતી વખતે તેમના ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. ચાઈનીઝ દોરી તીક્ષ્ણ હોવાથી શિક્ષક નરેશ બારોટના ગળાના ભાગે ઊંડો ઘા થયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી સારવાર બાદ 14 ટાંકા લેવા પડ્યા હતા. પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ અને ઉપયોગ ચાલુ છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. આ ઘટનાએ ચાઈનીઝ દોરીના જોખમ અને તેના વેચાણ પર સખત કાર્યવાહીની જરૂરિયાત પર ફરીથી ધ્યાન દોર્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 12:03 pm

નજીવી બાબતે છરીના ઘા ઝીંક્યા:મહિલાને રીક્ષામાં ન બેસાડતા બાબતે રીક્ષાચાલક પર છરી વડે હુમલો

ભાવનગરમાં રિક્ષામાં એક મહિલાને બેસાડવાની ના પાડવા જેવી નજીવી બાબતે એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના હાઈકોર્ટ રોડ પર ડબગરવાળી શેરીમાં બની હતી, જેમાં રિક્ષાચાલકને પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી અનુસાર ચંદ્રકાંત વિકાસભાઈ રાઠોડ ઉ.વ. 22, ધંધો- ડ્રાઇવિંગ, રહે.તિલકનગર ભાવનગર વાળા રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 22 નવેમ્બર, 2025ના રોજ રાત્રિના સમયે તેઓ તેમના પિતાને છાતીમાં દુખાવો થતા માતા સાથે સર ટી. હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. રાત્રિના આશરે સવા અગિયાર વાગ્યે તેઓ હાઈકોર્ટ રોડ થઈ ડબગરવાળી શેરીમાં પહોંચ્યા ત્યારે તેમના પિતાને પાણી પીવું હોવાથી તેમણે એક દુકાન પાસે રિક્ષા ઊભી રાખી હતી. તે સમયે તૌસીફ ઉર્ફે બચ્ચો હુસેનભાઈ સીદાતર રહે.નવાપરા, મદીનાબાગ ત્યાં ઊભો હતો. તૌસીફે સીધો આવી ચંદ્રકાંતને ગાળો ભાંડવાનું શરૂ કર્યું અને પૂછ્યું કે, 'મારા જાણીતા શિવાનીબેનને કેમ રિક્ષામાં બેસાડતો નથી ?' ચંદ્રકાંત અને તેમના પિતાએ તૌસીફને ગાળો ન બોલવા જણાવ્યું, ત્યારે તૌસીફે તેની કમરમાંથી છરી કાઢી ચંદ્રકાંત પર હુમલો કર્યો. ચંદ્રકાંતે પોતાનો હાથ આડો ધરતા છરી તેમના પેટમાં ડૂંટી પાસે વાગી ગઈ, જેના કારણે પુષ્કળ લોહી નીકળવા લાગ્યું. તેમના માતા-પિતા વચ્ચે પડતા તૌસીફ ગાળો બોલતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત ચંદ્રકાંતને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ કરાવ્યા હતો, જ્યાં ડોકટરોએ પેટમાં ગંભીર ઇજા હોવાથી ઓપરેશન કર્યું. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આમ રીક્ષા ચાલક ચંદ્રકાન્તએ તૌસીફ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:59 am

HNGUની ભગોરા ભાર્ગવીએ આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો:ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં જયપુર ખાતે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ની વિદ્યાર્થિની ભગોરા ભાર્ગવીએ જયપુર ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં આર્ચરી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભાર્ગવીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ યુનિવર્સિટીનું નામ રોશન થયું છે. યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રાર અને શારીરિક શિક્ષણ નિયામક દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ ભાર્ગવીની સફળતાને તેની અથાગ મહેનત, શિસ્તબદ્ધતા અને રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ધગશનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે તેના પ્રદર્શનની પ્રશંસા કરી અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણારૂપ બનશે તેમ યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:59 am

પેથાપુરમાં ચાલતા જુગારધામ પર દરોડો:એક મહિલા સહિત 16 જુગારીઓ ઝડપાયા, રૂ. 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર પેથાપુરના એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ગાંધીનગર અમદાવાદ વિસ્તારના 14 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક મહિલા જુગારી પણ પકડાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી સાડા ત્રણ લાખથી વધુની રોકડ, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.3,93,810 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. પેથાપુરના નિશાળ ફળિયામાં દરોડોગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારની ફૂલીફાલેલી બદી ઉપર અંકુશ મેળવવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલી સુચનાના પગલે તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓએ ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કવાયત શરુ કરી દીધી છે. જે અન્વયે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરિમયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામ નિશાળ ફળિયુ જૈન દેરાસરની બાજુમા રહેતો પ્રતીક સુરેશભાઈ ચૌહાણ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સઘળી વ્યવસ્થા કરી મોટાપાયે જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જે હકીકતના અલગ અલગ ટીમો બનાવીને બાતમી વાળા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઉપરના માળે પ્રથમ રૂમમાં ચારેક ઈસમો તેમજ અન્ય એક રૂમમાં ડબલ બેડ પલંગ તથા સોફા ઉપર મહિલા સહિત 16 જુગારીઓ જુગારની બાઝી માંડીને બેઠાં હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે એક ઇસમની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ પ્રતીક સુરેશભાઇ ચૌહાણ હોવાનું કહી મકાન તેની માલિકીનું હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા જુગારીઓના નામચંન્દ્રકાંત મણીલાલ પટેલ(રહે-અંબાજી માતાનોવાસ,સાણોદા,દહેગામ)હરદીપસિંહ ભરતસિંહ પરમાર(રહે-6, દુવાર્ણી સોસાયટી,વેજલપુર)કેતન શાંતિલાલ સુથાર(રહે-મકાન નંબર-3, આનંદ એપાટૅમેન્ટ, શ્રૃતીમંદિર સામે, ભવાની સોડાનીબાજુમાં,ઘોડાસર)ગૌરાંગ વિષ્ણુભાદ શાહ(રહે-નરોડા ગેલેક્ષી સામે, રાજદીપ સોસાયટી, મકાન નં-4, નરોડા)ચંન્દ્રેશભાઇ બુધાભાઈ પટેલ (રહે-એન/102,ક્રિશ એવન્યુ એપામેન્ટ, વસ્ત્રાલ)અમૃતભાઇ રૂપાભાઈ પ્રજાપતિ( રહે-હડાદ ગામ,પ્રજાપતિ વાસ,તા-દાતાર)વનરાજસિંહ દશરથસિંહ વાઘેલા(રહે-વીસ ઘર વાસ,કોલવડા)શૈલેષકુમાર નવનીતભાઈ પટેલ(રહે-અંગાળી ગામ,પટેલ ફળીયુ,તા-ગલતેશ્વર,જી-ખેડા)મુકેશભાઇ સુરાભાઇ રાતડીયા(રહે-એક વિધ્યા મંદિર બાજુમાં,આંબાતળાવ,બાવળા)નિકુંજ ગોવિંદભાઇ પટેલ( રહે-સી-304,જલદીય આઇકોન,મકરબા,વેજલપુર)રઇજીભાઇ કાંતીભાઇ ઠાકોર(રહે ઝાંક ગામ)નિતેશ મોહનલાલ આહુજા(રહે-83 ભીલ વાસ,સરદારનગર,અમદાવાદ)ગોપાલ ઝીણાભાઇ ગરીયા (રહે-4/32,ચંન્દ્રભાગા હાઉસીંગ બોડૅ,નવા વાડજ)અમૃતભાઇ ગણેશભાઈ પ્રજાપતિ(રહે- હડાદ ગામ,પ્રજાપતિ વાસ,પાંણીની ટાંકી પાસે,તા-હડાદ,જી-બનાસકાંઠા)પેથાપુરમાં રહેતી એક મહિલા પોલીસે ઘટનાસ્તળેથી 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતાં કુલ રૂ.3,30,810 રોકડા અને 8 મોબાઈલ ફોન મળી આવ્યા હતી. જેના પરથી જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે અહીં મોટાપાયે જુગારનો અખાડો ચાલતો હતો. આ અંગે પોલીસે દાવો કર્યો છેકે પ્રતીક ચૌહાણે બે દિવસથી જ જુગારનો અખાડો શરૂ કર્યો હતો. જે કોઈ કામધંધો કરતો નહીં હોવાથી આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવી રહ્યો હતો. જોકે જે રીતે કુલ રૂ.3.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એ જોતા પ્રતીક ચૌહાણ કોઈના મજબૂત પીઠબળ હેઠળ આયોજનપૂર્વક જુગારનો અખાડો ચલાવતો હોવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:51 am

વીરતા ગામે ખેતરની ઓરડી અને મંદિરમાં ચોરી:તસ્કરો ગેસનો બાટલો, પંખા સહિતી વસ્તુઓ ઉઠાવી ગયા; 2.65 લાખના મત્તાની ચોરી અંગે ફરિયાદ

મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી છે. ભાજપના જિલ્લા પંચાયત પચોટ સીટના ડેલીગેટ મુકેશ પટેલના ખેતરમાં આવેલી ઓરડી તેમજ ત્રણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા કુલ 2.65 લાખના મત્તાની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ આ ચોરી બાબતે યોગ્ય તપાસ માટે ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી છે. પીપળીયા નામથી ઓળખાતા ખેતરની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યાશિયાળાની શરૂઆત થતા જ મહેસાણા જિલ્લા તસ્કરો સક્રિય બન્યા છે. મહેસાણા તાલુકામાં આવેલા વીરતા ગામ નજીક આવેલ પીપળીયા નામથી ઓળખાતા ખેતરની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ ખેતરમાં આવેલા મંદિરોને પણ નિશાન બનાવ્યા હતા. જ્યાં તસ્કરો ઓરડીમાંથી જરૂરી સમાન તેમજ મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણો ચોરી રફુચક્કર થઈ ગયા હતા. ઓરડીમાં રહેલી તિજોરીમાં સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યોફરિયાદી મુકેશ પટેલ 25 નવેમ્બરના રોજ ખેતરમાં આવેલા મંદિરમાં પૂજા પાઠ કરવા ગયા એ દરમિયાન તેઓને આ ચોરી અંગેની જાણ થઈ હતી. ત્યારબાદ ખેતરમાં આવેલી ઓરડીમાં તપાસ કરવામાં આવતા ઓરડીમાં રહેલી તિજોરીમાં બધો સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. કેટલોક સમાન તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચોરી અંગે જિલ્લા પંચાયત પચોટ સીટના સદસ્ય મુકેશ પટેલે યોગ્ય તપાસ થાય અને મુદ્દામાલ પરત આવે એ માટે જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત પણ કરી હતી. આ સામાન ચોરાયો મંદિરમાં થયેલી ચોરીની વિગતો તેમજ મોનિકભાઈ પટેલ ની કે.વી.એસ સિમેન્ટ પ્રોડક્ટ વીરતામાંથી લોડીંગ હાઇડ્રોલિક હાથલારીના 3 ટાયરો કિંમત 18 હજાર રૂપિયા કાઢી ચોરો રફુચક્કર થઈ ગયા હતા. આમ તસ્કરોએ કુલ 2 લાખ 65 હજાર 100ના મત્તાની ચોરી કરી હતી.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:49 am

બાવળા પાસે ટ્રક પાછળ પિકઅપ ઘૂસી, 4નાં મોત, 2 ઘાયલ:નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં અકસ્માત નડ્યો

બાવળા-બગોદરા હાઈવે પર રામનગર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગ સર્વિસની એક પિકઅપ વાન રોડ પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત સ્થળે જ બે લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે વ્યક્તિને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. નરોડાથી બાલાજી કેટરિંગની પિકઅપ ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતા હતા ત્યારે બાવળા નજીક આ ઘટના ઘટી. ઘટનાની જાણ થતાં જ બાવળા અને ચાંગોદરની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાવળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:48 am

“શાંતિના અબજ મિનિટોની સફર:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ અને બ્રહમાકુમારી દ્વારા મનને શાંત કરતી અનોખી ''ધ્યાન શિબિર ”

આશ્રમ રૉડ પર આવેલી નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ.સી. શાહ કોમર્સ કોલેજ ખાતે 27-11-2025ના રોજ બ્રહ્માકુમારીસ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં BK મનીષાદીદી અને BK નિર્જરીદીદીએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને ધ્યાનનો જીવંત અને ગાઢ અનુભવ કરાવ્યો. ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ’ પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ આજના તણાવગ્રસ્ત અને અશાંત વિશ્વમાં 'શાંતિનું મહત્વ સમયની સૌથી મોટી જરૂરિયાત છે' એવો મર્મસ્પર્શી સંદેશ આપ્યો. તેઓ એ સમજાવ્યું કે બહારની પરિસ્થિતિઓમાંથી શાંતિ શોધવાને બદલે, મનની અંદરની શક્તિઓને જાગ્રત કરવામાં જ સચી શાંતિનો સ્ત્રોત છે. કાર્યક્રમ દરમિયાન કરાવવામાં આવેલા ''માર્ગદર્શિત રાજયોગ ધ્યાન'' દ્વારા હાજર તમામે આંતરિક શાંતિ, સ્થિરતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માનસિક આરોગ્ય, કેન્દ્રિતતા અને સકારાત્મકતા માટે અત્યંત ઉપયોગી છે અને આ પ્રકારની શાંતિમય અનુભૂતિ તેમના માટે યાદગાર બની રહેશે. આ સમગ્ર કાર્યક્રમ ‘શાંતિ એ જ શક્તિ’નો જીવંત અનુભવ કરાવતો હતો ખરેખર, ''તણાવ અને કલહથી ભરેલા આ યુગમાં આ જ સમયની જરૂરિયાત છે.'' સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહ નાં માર્ગદર્શન હેઠળ યોજાયો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:47 am

CITESની બેઠકમાં વનતારાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી:વન્યજીવોની આયાતને લઈને ભારત પર લગાવાતા તમામ આરોપોને વિશ્વના મોટા ભાગના દેશોએ ફગાવી દીધા

ઝબેકિસ્તાનના સમરકંદમાં ગત રવિવારે યોજાયેલી કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરાની (CITES) મહત્વની બેઠકમાં ભારતને મોટી રાહત મળી છે. વન્યજીવોની આયાતને લઈને ભારત પર લગાવવામાં આવતા આરોપોને વિશ્વના મોટા ભાગના દેશોએ ફગાવી દીધા હતા. આ નિર્ણયથી જામનગરના વનતારા જેવી સંસ્થાની કાર્ય પદ્ધતિ માટે વૈશ્વિક સ્તરે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વનતારાને વૈશ્વિક સ્તરે માન્યતા મળીસમરકંદમાં યોજાયેલી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટા ભાગના દેશોએ સ્પષ્ટ કહ્યું કે પ્રાણીઓની આયાત બાબત ભારત સામે કોઈ કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા નથી. આ નિર્ણય ભારતના વલણ માટે મજબૂત ટેકો સમાન છે. સાથે જ વનતારાના કાયદેસર, પારદર્શક અને વિજ્ઞાન આધારિત વન્યજીવ સંભાળના મોડેલને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. CITESએ બે દિવસ વનતારાની મુલાકાત લીધી હતીCITES સચિવાલય જે યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે તેણે સપ્ટેમ્બર 2025માં વનતારાની બે દિવસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર, પશુચિકિત્સા વ્યવસ્થા, બચાવ કાર્ય અને વેલ્ફેર પ્રોટોકોલ્સની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીને રિપોર્ટ સોંપાયો હતોગત સપ્ટેમ્બર મહિનાની 30 તારીખે સ્ટેન્ડિંગ કમિટીને આપેલા અહેવાલમાં સચિવાલયે વનતારાને આધુનિક સુવિધા ધરાવતી અદ્યતન પશુચિકિત્સા સંભાળ આપતી અને વ્યવસ્થિત બચાવ અને પુનર્વસન પ્રણાલી ધરાવતી વિશ્વ સ્તરીય સંસ્થા ગણાવી હતી. અહેવાલે સાબિત કર્યું કે વનતારાનું કામ માત્ર પ્રાણીઓના કલ્યાણ પર કેન્દ્રિત છે અને કોઈપણ વેપારી પ્રવૃત્તિ નથી. વનતારાએ સંપૂર્ણ સહકાર આપ્યો આ ઉપરાંત CITESના નિયમો મુજબ વનતારાએ સંપૂર્ણ સહકાર આપ્યો હોવાનું પણ જણાવાયું હતું. બેઠક દરમિયાન મોટાભાગના દેશોએ ભારતના વલણને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. જેથી સ્પષ્ટ થયું કે વનતારાના કાર્ય પર ઊઠાવવામાં આવેલા સવાલો પાયાવિહોણા અને હકીકતથી દુર છે. આ નિર્ણય ભ્રામક માહિતી ફેલાવનારાઓને પણ સચોટ જવાબ છે અને વનતારાની સકારાત્મક કામગીરીને સત્તાવાર સ્વીકૃતિ આપે છે. વનતારા વિરુદ્ધના બધા આરોપ નિરાધારઆ બાબત ભારતના CITES અમલીકરણ પ્રણાલી માટે પણ મહત્વનો છે અને દર્શાવે છે કે વનતારાએ હંમેશાં નિયમોનું પાલન કર્યું છે. આ સાથે જ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત SITના તારણને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત માન્યતા મળી છે. SITએ પોતાના ઊંડા તપાસ બાદ સ્પષ્ટ કહ્યું હતું કે વનતારા વિરુદ્ધના બધા આરોપ નિરાધાર છે. તમામ પ્રાણીઓને કાયદેસર અને બિન વ્યાપારી હેતુથી માન્ય પરવાનગી સાથે લાવવામાં આવ્યા હતા. તેમાં કોઈ દાણચોરી કે નાણાકીય ગેરરીતિ નહોતી. SITએ એ પણ નોંધ્યું કે વનતારા માત્ર નિયમોનું પાલન કરતાં નથી પરંતુ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી પણ વધુ ઊંચા સ્તરે ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ દરજ્જો ધરાવે છે. એક પ્રાઇવેટ કલેક્શન તરીકે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સંરક્ષણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:42 am

ઈડરના ચિત્રોડામાં કલેક્ટરની હાજરીમાં રાત્રિ ગ્રામસભા યોજાઈ:કલેક્ટરે પ્લાસ્ટિક ઘટાડવાના પ્રયાસને બિરદાવ્યો, કાપડની થેલીઓનું વિતરણ થયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી. આ પ્રસંગે કલેક્ટરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. તેમને 15મી ઓગસ્ટથી 26મી જાન્યુઆરી સુધીના વિવિધ પ્રસંગોએ રજૂઆત કરવાની તક આપવી જોઈએ. તેમણે ચિત્રોડા ગામની એકતાને પણ બિરદાવી હતી અને કહ્યું કે રાજ્ય સરકારની તમામ યોજનાઓનો વ્યાપક ઉપયોગ ગામના હિતમાં છે. ચિત્રોડા ગામમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે ગ્રામ પંચાયત અને શ્રીમદ લાલજી બાપા યુવા સંગઠનની ટીમે દરેક ઘર સુધી કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું. આ પહેલને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રોજેક્ટથી પ્લાસ્ટિકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેની કલેક્ટરે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ સંબોધન કરતાં જણાવ્યું કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે, અને જો ગામડાં સશક્ત બનશે તો દેશ આપોઆપ સશક્ત બનશે. તેમણે ગામની જરૂરી સુવિધાઓ માટે પ્રામાણિકતા અને એકરૂપતા પર ભાર મૂક્યો. આવનારા સમયમાં ચિત્રોડા ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સંપૂર્ણ અમલ થાય તે પણ મહત્વનું રહેશે. આ રાત્રિ ગ્રામસભામાં ઇડર પ્રાંત અધિકારી રોનકભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરી, સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, શ્રીમદ લાલજી બાપા યુવા સંગઠનની ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:13 am

આણંદ BAPS મંદિરમાં ઠાકોરજીનો ઉત્તમોત્તમ મહાઅભિષેક કરાયો:રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિશેષ વિધિ સંપન્ન

આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરમાં 25મા પાટોત્સવ (રજત જયંતિ મહોત્સવ) નિમિત્તે ઠાકોરજીનો ઉત્તમોત્તમ મહાઅભિષેક વિધિ સંપન્ન થયો હતો. આ મહાઅભિષેક વિધિ BAPS સંસ્થાના પ્રકાંડ પંડિત અને ષડ્દર્શનાચાર્ય ડૉ. શ્રુતિપ્રકાશ દાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ વિધિ માટે ગતરોજ 12 વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 225 કળશોનું પૂજન કરાયું હતું. મુખ્ય કળશનું પૂજન મહંત સ્વામી મહારાજના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તમામ કળશો વડે મંગળવારે પ્રભાતે ઠાકોરજીનો મહાઅભિષેક વિધિ સંપન્ન થયો. મહાઅભિષેક વિધિ બાદ ઠાકોરજીની ષોડશોપચાર વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સદગુરુ સંતવર્યો ત્યાગવલ્લભ સ્વામી અને વિવેકસાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂજ્ય ભગવદ્ ચરણ સ્વામી, કોઠારી યજ્ઞસેતુ સ્વામી સહિત આણંદ અને અન્ય મંદિરોના સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મ જયંતિ મહોત્સવની મુખ્ય ઉજવણીની પૂર્વ સંધ્યાએ, માગશર સુદ આઠમ, 28 નવેમ્બરના રોજ અક્ષરફાર્મમાં BAPS સંસ્થાના સાળંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધના કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 11:09 am

સરકારી શાળા સામે તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા:જૂની અદાવતમાં મૃતક અને આરોપી વચ્ચે થયેલા વિવાદ બાદ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી રાત્રે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં સુભાષ સુરેશ લાંડગે નામના એક યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે હુમલોપ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પગલે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું અનુમાનપોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે. મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે, જેના કારણે બોલાચાલી થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે. પોલીસે આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યાપાંડેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે, ત્યારે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:57 am

પોરબંદરમાં યુવાનનો ખોવાયેલો બેગ મળ્યો:લેપટોપ, રોકડ સહિતનો સામાન નેત્રમ ટીમે પરત કર્યો

પોરબંદરમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટની ટીમે એક યુવાનનો ખોવાયેલો બેગ શોધીને પરત કર્યો છે. આ બેગમાં લેપટોપ, રોકડ, હાર્ડ ડિસ્ક, પેનડ્રાઇવ અને મહત્વના દસ્તાવેજો સહિતનો કિંમતી સામાન હતો. પોરબંદરના આર.જી.ટી. કોલેજ કમ્પાઉન્ડ, બિરલા રોડ-રાજમહેલ ખાતે રહેતા પાર્થ બટુકભાઈ રાઠોડનો બેગ કનકાઈ મંદિર પાસે ભૂલાઈ ગયો હતો. બેગમાં ₹30,000નું લેપટોપ, ₹2,000 રોકડા, ₹3,500ની હાર્ડ ડિસ્ક અને પેનડ્રાઇવ, તેમજ SIRનો ફોર્મ અને અન્ય જરૂરી દસ્તાવેજો હતા. પાર્થ રાઠોડે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. ટીમે અરજદારના રૂટ મુજબ કનકાઈ મંદિર અને ચોપાટી વિસ્તારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો ઈસમ મોટરસાયકલ પર બેગ લઈને જતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર GJ25 AC 9069 હોવાનું જાણવા મળ્યું હતું. આથી વાહનચાલક મહમદયાસીન મહમદ નોતરીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ ખાતે વાહનચાલકને બોલાવીને બેગની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી અરજદારના દસ્તાવેજો અને અન્ય સામાન મળી આવતા, બેગ સુરક્ષિત રીતે પાર્થ રાઠોડને પરત કરવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન ભરેલો બેગ પરત મળતા પાર્થ રાઠોડે નેત્રમ ટીમ અને મોટરસાયકલ ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:49 am

હિંમતનગરમાં મોપેડચાલકે બાળકીને અડફેટે લીધી:ઓવરસ્પીડ સીસીટીવીમાં કેદ, માથામાં ઈજા થતાં સારવાર અપાઈ

હિંમતનગરની એક સોસાયટીમાં ઓવર સ્પીડ મોપેડચાલકે એક બાળકીને અડફેટે લીધી હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી, જેમાં બાળકીને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને હાઈવે પર વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરીને બેફામ વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માતના બનાવો બને છે. આવી જ એક ઘટનામાં, હાઈવે જેવી ઝડપ સોસાયટીના રોડ પર જોવા મળી હતી. હિંમતનગરના ઇન્દ્રનગર સી વિભાગમાં આવેલી સોસાયટીના કોમન પ્લોટ પાસેના રોડ પર કેટલીક બાળકીઓ રમી રહી હતી. તે સમયે મુખ્ય રોડ પરથી સોસાયટીમાં પ્રવેશી રહેલા એક મોપેડચાલકે પોતાનું વાહન ઓવર સ્પીડમાં ચલાવ્યું હતું. રોડની બાજુમાં રમી રહેલી બાળકી અચાનક રોડ ક્રોસ કરવા જતાં ઓવર સ્પીડ મોપેડની અડફેટે આવી ગઈ હતી. ટક્કર વાગતાં બાળકી રોડ પર પટકાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે બાળકીને ઊભી કરીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થયા છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:45 am

રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ:આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, નલિયા 11.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ અને 22 ડિગ્રી સાથે ઓખા સૌથી ગરમ શહેર

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજયમાં રાત્રિ અને વહેલી સવારમાં ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો નોંધાતા હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગતરોજ ન્યૂનતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે 2 ડિગ્રીના વધારા સાથે આજે 20.8 ડિગ્રી નોંધાયું છે. જ્યાં 11.6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર, જ્યારે 22 ડિગ્રી સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં 16, તો અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયુંરાજકોટ જ્યાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરા 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 22 અને સુરત ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવજ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલે કહી શકાય કે અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે સામાન્ય ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સિઝનનો અનુભવ થશે. જાણો અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું?ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ, રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો, ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી, ભુજમાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, તો દ્વારકા અને ગાંધીનગરમાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન 18.6 અને 14.5 ડિગ્રી રહ્યું. તેજ રીતે કંડલામાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, નલિયામાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી, પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને વેરાવળમાં લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી રહ્યું.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:43 am

11.6 ડ્રિગીમા નલિયા થથર્યું:સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ, ભુજમાં 15.6 ડિગ્રી તાપમાન

નલિયા 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત 12મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યાં ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. હાલમાં કચ્છમાં ખુશનુમા ઠંડીનો માહોલ છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે શીત લહેરની તીવ્રતા ઓછી છે. જોકે, વહેલી સવારે બહાર વિશેષ શીતળતાનો અનુભવ થાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે દેશના ઉત્તરીય પ્રદેશોમાં થયેલી હિમવર્ષાની અસર આગામી દિવસોમાં કચ્છમાં પણ વર્તાઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર સહિતના ઉત્તરીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. આ સંભાવના મુજબ, લગભગ ત્રણથી ચાર દિવસ બાદ સરહદી કચ્છ જિલ્લામાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. આના કારણે કચ્છવાસીઓ હવે કડકડતી ઠંડીનો અનુભવ કરશે. અત્યાર સુધી આરામથી કામ કરતા લોકો હવે ભારે ગરમ વસ્ત્રો પહેરતા અને તાપણીનો સહારો લેતા જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:33 am

ભુજમાં ડો. પ્રિયારાજ વિલિયમ્સના ગ્રંથનું લોકાર્પણ:કચ્છી ભરતકલા પર આધારિત ‘એક્વીઝીટ એમ્બ્રોડરી ઓફ કચ્છ' રજૂ

ભુજ ખાતે ડો. પ્રિયારાજ વિલિયમ્સના કચ્છી ભરતકામ પર આધારિત અંગ્રેજી ગ્રંથ ‘એક્વીઝીટ એમ્બ્રોડરી ઓફ કચ્છ’નું લોકાર્પણ કરવામાં આવ્યું. ડો. વિલિયમ્સ, જેઓ ગુજરાતી જાણતા ન હોવા છતાં કચ્છી અને સિંધી ભાષા પર સારી પકડ ધરાવે છે, તેમણે કચ્છના હસ્તકલાકારો સાથેના લાંબા સંપર્કને કારણે આ જ્ઞાન મેળવ્યું છે. કચ્છના પૂર્વ જિલ્લા પોલીસવડા રણજિતરાજ વિલિયમ્સના પત્ની ડો. પ્રિયારાજે 1985માં કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન કચ્છી ભરતકામ પર સંશોધન શરૂ કર્યું હતું. આ 300 પાનાનો ગ્રંથ તેમના સંશોધન અને મેળવેલી જાણકારીનો નિચોડ છે. ગ્રંથના લોકાર્પણ પ્રસંગે, ડો. પ્રિયારાજે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુસ્તકનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યું કે આ ગ્રંથ તેમના ચાલીસ વર્ષના સંશોધન કાર્યની પરાકાષ્ઠા છે. તેમણે ઉમેર્યું કે કચ્છી ભરતકામ સિંધુ સંસ્કૃતિથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. આ ગ્રંથમાં કચ્છમાં ભરતકામ કરતી ઓગણીસ જ્ઞાતિઓના 33 પ્રકારના ભરતકામને આવરી લેવામાં આવ્યા છે. તે આ સમાજોની સાંસ્કૃતિક પરંપરાઓ, જીવનશૈલી અને ઇતિહાસની કલાત્મક અભિવ્યક્તિને દર્શાવે છે. પ્રોવેસ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખી છે. ડો. પ્રિયારાજે જણાવ્યું કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ આ ગ્રંથને વિશેષ ગ્રંથ તરીકે માન્યતા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કચ્છનું અનોખું ભૌગોલિક સ્થાન, દરિયાઈ વેપાર માર્ગો, વિદેશી આક્રમણો, પ્રજાનું સ્થળાંતર અને કુદરતી આફતો જેવા કારણોસર કચ્છી હસ્તકળા લુપ્ત થવાના આરે છે, જેને સાચવવાની તાતી જરૂરિયાત છે. કાર્યક્રમની શરૂઆતમાં, કચ્છના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક અને લેખકના પતિ રણજિતરાજ વિલિયમ્સે સૌનું સ્વાગત કર્યું. તેમણે લેખકનો પરિચય આપ્યો અને કચ્છમાં તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળી જૂના સંબંધો તાજા કર્યા. અંતે, એમ.એસ. જથ્થમે આભારવિધિ કરી. આ પ્રસંગે પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી, પંકજ શાહ, અમીબેન શ્રોફ, રજની પટવા, પ્રમોદ જેઠી, સલીમ વઝીર, કલાધર મુતવા સહિતના અનેક કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:30 am

પાટણમાં મહિલાને ઘરમાંથી કાઢી મૂકી:પતિએ અગાઉની પત્ની સાથે રહેવા દબાણ કરી ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ

પાટણ શહેરમાં 40 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે 11 માસના પુત્રના જન્મ બાદ પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે અને અગાઉની પત્ની સાથે રહેવા માટે છૂટાછેડા આપવાનું દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. પાટણ મહિલા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલા મૂળ પટેલ સમાજની છે. તે 2021થી પાટણ પંથકના એક ગામના અન્ય સમાજના વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. શરૂઆતમાં તે વ્યક્તિએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં જાન્યુઆરી 2024માં બંનેએ બીજા લગ્ન કર્યા અને રાજીખુશીથી લગ્ન નોંધણી કરાવી. ત્યારથી તેઓ પાટણમાં કાયદેસર પતિ-પત્ની તરીકે રહેતા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા અને મનમેળ રહ્યો નહીં. મહિલાનો આરોપ છે કે સાસરિયાંની ચઢવણીથી ઝઘડા વધ્યા હતા. માર્ચ 2024માં તે ગર્ભવતી બની હતી અને પુત્રના જન્મ સમયે હોસ્પિટલના બિલ ભરવા બાબતે પણ માથાકૂટ થઈ હતી. જૂન 2025માં જ્યારે મહિલા પાટણમાં તેના ઘરે હતી, ત્યારે પતિ ત્યાં આવ્યો અને ઝઘડો કર્યો. પતિએ સ્પષ્ટ કહ્યું કે તેને મહિલાને રાખવી નથી અને તે તેની અગાઉની પત્ની તથા પુત્ર સાથે રહેવા માંગે છે. તેણે મહિલાને ઘરમાંથી નીકળી જવાનું કહીને તેના સ્ત્રીધન દાગીના પણ પડાવી લીધા અને ઘરમાંથી કાઢી મૂકી, તેવો આરોપ મહિલાએ લગાવ્યો છે. આ ઘટના અંગે મહિલાએ તેના સાસરિયાંને જાણ કરી, ત્યારે તેઓએ પણ તેને છૂટાછેડા આપવા માટે દબાણ કર્યું અને ધમકીઓ આપી. વારંવારના ત્રાસથી કંટાળીને મહિલાએ સાસરિયાં વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. સમાધાન માટે વાતચીત થઈ હતી, પરંતુ તે સફળ રહી નહોતી. આખરે, પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:29 am

કાનાલૂસ-દ્વારકા રેલવે ડબલ ટ્રેક યોજના મંજૂર:PM-ગતિશક્તિ હેઠળ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ₹1474 કરોડના પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1474 કરોડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આ યોજના મંજૂર થઈ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ડબલ ટ્રેક સુવિધાથી ઓખા અને સલાયા બંદરો પરથી રેલવે દ્વારા માલ પરિવહનમાં વધારો થશે, જેનાથી બંને બંદરોનો વિકાસ થશે અને આર્થિક મજબૂતીકરણ થશે. અંદાજે દર વર્ષે 11 મિલિયન ટનનો ફ્રેઈટ ટ્રાફિક વધવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાના મંદિરો અને શિવરાજપુર બીચ જેવા પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઝડપી, સલામત અને શ્રેષ્ઠ રેલવે સુવિધા મળશે. આ વિકાસ કાર્ય પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થશે. તેનાથી 14 કરોડ કિલો કાર્બન ડાયોક્સાઇડની અસર ઘટશે, જે 56 લાખ વૃક્ષો વાવવા સમાન છે. આ ઉપરાંત, દર વર્ષે અંદાજે 3 કરોડ લિટર ડીઝલની બચત થશે અને માલ પરિવહન તથા લોજિસ્ટિક ખર્ચમાં વાર્ષિક ₹311 કરોડની બચત થશે. આ પ્રોજેક્ટનો મોટો ખર્ચ ગણતરીના વર્ષોમાં સરભર થઈ જશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:25 am

ખાટલામાં સૂતા-સૂતા 10 વર્ષનો છોકરો વેચે છે ગાંજો, VIDEO:સુરતમાં સરથાણા બ્રિજ નીચે દારૂ, ગાંજો, જુગારનો ખુલ્લેઆમ વેપલો, જાગૃત યુવાનોએ મેયર-પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું

સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ દૂષણોને કેમેરામાં કેદ કરીને વિસ્તારના જાગૃત યુવાનોએ આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય તેવો વીડિયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે. આ દૃ્શ્યો શહેરના કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઉભા કરે છે. યુવાનોએ બ્રિજની નીચે જુગાર રમાતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યો છે. જાગૃત નાગરિકોના ગ્રુપે મેયર-પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યુંબ્રિજ નીચે ચાલતા આ તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. યુવા જાગૃત નાગરિકોના એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો, જુગાર જેવા દૂષણો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆતઆવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી કે વરાછા રોડ પર આવેલા પોદાર આર્કેડથી નવજીવન સુધીના બ્રિજની નીચે ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો અને જુગાર જેવા તમામ દૂષણો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા. બ્રિજની નીચે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક હટાવવા અને વેસુ વિસ્તાર કે શહેરના અન્ય પોશ વિસ્તારોની જેમ આ બ્રિજને પણ સુશોભિત કરવામાં આવે, જેથી અહીં અસામાજિક તત્વોનો જમાવડો ન થાય. યુવાનોની ઝૂંબેશને 10થી વધુ સામાજિક સંસ્થાઓનું સમર્થન યુવાનો દ્વારા શરૂ કરાયેલી આ સકારાત્મક મુહિમને વરાછા વિસ્તારની 10થી વધુ સામાજિક સંસ્થાઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ સંસ્થાઓ પોતાના સત્તાવાર લેટરપેડ સાથે આ અભિયાનમાં જોડાઈ છે, જે સાબિત કરે છે કે સ્થાનિક નાગરિકોમાં આ દૂષણો પ્રત્યે કેટલો રોષ અને જાગૃતિ છે. જાગૃત નાગરિકોની આ પહેલથી સ્થાનિક પ્રશાસન પર દબાણ વધ્યું છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે મેયર અને પોલીસ કમિશનર આ ગંભીર મામલાને ધ્યાને લઈને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશે, જેથી સુરતના બાળકો અને યુવાનોને નશાના ભરડામાંથી બચાવી શકાય. બ્રિજ નીચેના દબાણ દૂર થાય, દૂષણો દૂર થાય: વિશાલ વસોયાઅભિયાન સાથે જોડાયેલા વિશાલ વસોયાએ જણાવ્યું હતું કે, વરાછાના જાગૃત યુવાઓ દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે, એ દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર, દારૂ, ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે અને એ ખુલ્લેઆમ અને ધોળા દિવસે. આ પુલની નીચે અનેક દૂષણો છે. વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે. તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય. 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છેઆ વરાછાના જે જાગૃત નાગરિકો છે, કે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટીફિકેશન થયું છે, એવું જ આ સરથાણાના વરાછાના બ્રિજની નીચે થાય. વીડિયોમાં જોયું કે કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લેઆમ જુગાર ચાલે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ અને ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે. નશાના કારોબારની અનેક ઘટનાઓ સામે આવીપોદારથી લઈને સરથાણા સુધીના બ્રિજની નીચે નશાનો કારોબાર ચાલતો હોવાની પહેલા પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલા જ કાપોદ્રા પોલીસ દ્વારા બ્રિજના 20 ફૂટ ઉપર પીલર પર સંતાડવામાં આવેલો ગાંજો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:12 am

હિંમતનગરમાં વાતાવરણમાં પલટો, વાદળો છવાયા:પવન ફૂંકાતા ઠંડી-ગરમીનો મિશ્ર અનુભવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને સમયાંતરે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાતાવરણના બદલાવને કારણે દિવસભર ઠંડી અને ગરમીની મિશ્ર અસર અનુભવાઈ રહી છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળામાં વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેતી અને શાકભાજીના પાકો પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 10:03 am

PM-USHA યોજના હેઠળ 100 કરોડની ગ્રાન્ટ મંજૂર:VNSGUમાં બાયોસાયન્સ, બાયોટેક સહિતના ક્ષેત્રમાં રિસર્ચ થશે; સ્વિમિંગ પૂલ, એમ્ફી થિયેટર અને અદ્યતન ક્લાસરૂમ્સ બનશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે એક મોટી સિદ્ધિરૂપ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીને પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ અધ્યતન સુવિધાઓ અને સંશોધન કેન્દ્રોના વિકાસ માટે કુલ 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના માળખાકીય અને શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવાનો છે, જેમાં ખાસ કરીને બાયોસાયન્સ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચને મજબૂત કરવા માટે અધ્યતન સાધનોની ખરીદી પર ભાર મૂકવામાં આવ્યો છે. 100 કરોડના કામોમાંથી 80 કરોડના કામોને ટેકનિકલ મંજૂરીયુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ના આધારે કુલ 100 કરોડના કામોમાંથી 80 કરોડના કામોને ટેકનિકલ મંજૂરી મળી ચૂકી છે, જ્યારે બાકીના 20 કરોડના કામોની મંજૂરી ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે. આ તમામ કાર્યો માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ભંડોળનો ઉપયોગ બે વર્ષથી વધુ સમયગાળા દરમિયાન થવાનો છે અને હાલમાં કામગીરીના પ્રારંભિક તબક્કે 1 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જેમ જેમ કામ પૂર્ણ થતું જશે તેમ તેમ નાણાંની ચુકવણી ક્રમશઃ કરવામાં આવશે. 80 કરોડના મંજૂર થયેલા કાર્યોમાં યુનિવર્સિટીના કેમ્પસમાં અનેક નવીન ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે: દક્ષિણ ગુજરાતના મહત્ત્વના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય સંશોધનને વેગ મળશેઆ ગ્રાન્ટનો એક મહત્ત્વનો ભાગ 25 કરોડના ખર્ચે બની રહેલા રિસર્ચ સેન્ટર માટે ફાળવવામાં આવ્યો છે. કુલપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે યુનિવર્સિટી પાસે ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ફાર્માસ્યુટિકલ, બ્લુ ઇકોનોમી દરિયાઈ સીમાઓ, ડાયમંડ સહિતના નવ જેટલા વિવિધ ક્ષેત્રોમાં રિસર્ચની શક્યતાઓ હોય, પરંતુ આ રિસર્ચ સેન્ટરમાં શરૂઆતમાં મુખ્યત્ત્વે બાયોસાયન્સ અને બાયોટેકનોલોજીના સંદર્ભમાં જ રિસર્ચ માટેના અધ્યતન સાધનોની ખરીદી કરવામાં આવશે. આનાથી દક્ષિણ ગુજરાતના આ બંને મહત્ત્વના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય સંશોધનને વેગ મળશે અને વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોને આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો સાથે કામ કરવાની તક મળશે. જાહેર પરીક્ષાઓ માટે આધુનિક ડેટા સેન્ટર અને સુવિધાઓમાત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પણ યુનિવર્સિટી શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયાઓને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરી રહી છે. આ ગ્રાન્ટમાંથી એક આધુનિક ડેટા સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી સજ્જ હશે. આ ડેટા સેન્ટરમાં 250 જેટલાં કમ્પ્યુટરો મૂકવામાં આવશે અને તેને આધુનિક સ્વીચો સાથે જોડવામાં આવશે. આ સુવિધા ઊભી કરવાનો મુખ્ય હેતુ એ છે કે યુનિવર્સિટી દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ માટે એક જ જગ્યાએ કેન્દ્રીકૃત વ્યવસ્થા ઉભી કરી શકાય. આનાથી પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સુવિધાજનક બનશે. આ પગલું યુનિવર્સિટીને ડિજિટલ શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં અગ્રેસર બનાવશે. PM-USHA યોજનાનું લક્ષ્ય પૂર્ણ કરવા તરફ યુનિવર્સિટી અગ્રેસરવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને મળેલી આ 100 કરોડની ગ્રાન્ટ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનના મુખ્ય ઉદ્દેશને સિદ્ધ કરવા તરફનું એક મહત્ત્વનું પગલું છે. આ યોજના ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા, સમાવેશકતા અને માળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. VNSGU આ ભંડોળનો ઉપયોગ કરીને માત્ર પોતાની ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ સંશોધન અને શૈક્ષણિક પ્રણાલીને પણ આધુનિક બનાવીને દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી યુનિવર્સિટીને વૈશ્વિક કક્ષાના રિસર્ચ અને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 9:43 am

ચિંતન શિબિર માટે CM ‘ટીમ ગુજરાત’ સાથે વલસાડ જવા રવાના:વંદે ભારત ટ્રેનમાં અમદાવાદથી નીકળ્યા, મંત્રીઓ સહિત 241 અધિકારીઓ શિબિરમાં જોડાશે

12મી ચિંતન શિબિર માટે CM ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે. મુખ્યમંત્રી ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારતમાં નીકળ્યાઆ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા. PM મોદીએ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. 12મી ચિંતન શિબિર ‘સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 27 Nov 2025 8:48 am

અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ, શંકાસ્પદ પકડાયો

US News: દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પણ વાંચોઃ વધુ એક આફ્રિકન દેશમાં તખ્તાપલટ!

ગુજરાત સમાચાર 27 Nov 2025 8:09 am