SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

કળિયુગના પુત્રનું વૃદ્ધ માતા સાથે અમાનવિય કૃત્ય:પુત્ર અને પુત્રવધૂ 65 વર્ષીય માતાને ઘરમાં લોક કરી જતા રહ્યા ને એક મહિનામાં હાલત બદથી બદતર થઈ, અંતે ટ્રસ્ટ અને પોલીસે બહાર કાઢ્યા

સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરીને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુત્રએ વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરીને એક મહિનાથી વધુ સમયથી છોડી દીધા હતા, જે અંગે જાણ થતાં પોલીસે અને એક સેવાભાવી સંસ્થાએ વૃદ્ધાને મુક્ત કરાવી હતી. એક મહિના પહેલા ઘરના પેસેજમાં લોક કરીને પુત્ર જતો રહ્યોપ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની એક સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને તેમના પુત્ર રાજેશ (પુત્રનું નામ બદલ્યું છે) (જે હીરાના કારખાનામાં નોકરી કરે છે)એ લગભગ એક મહિના પહેલા ઘરના પેસેજમાં લોક કરીને ક્યાંક જતો રહ્યો હતો. પુત્રએ માતાને તરછોડી દીધી હોવા છતાં, આસપાસના જાગૃત અને દયાળુ લોકો દ્વારા વૃદ્ધાને સમયસર જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેના કારણે તેઓનું ગુજરાન ચાલી રહ્યું હતું. ઉત્રાણ પોલીસની ટીમે વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢીઆજે, વુમન ઇમ્પુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની કાર્યકરોને આ અંગેની જાણ થતાં તેઓ તરત જ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા. તેમણે જોયું કે વૃદ્ધા ખરેખર પેસેજમાં લોક હતા અને તેમની હાલત ગંભીર હતી. કાર્યકરો દ્વારા તુરંત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી હતી અને વધુ કાર્યવાહી માટે તેમને ઉત્રાણ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક મહિનાથી પુત્રએ મતાની કોઈ ભાળ લીધી નહોતીપોલીસ સ્ટેશન પર, ઉત્રાણ પોલીસે પુત્ર રાજેશનો કોન્ટેક્ટ કરીને તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે, ઘર લોન પર હોય અને કદાચ આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કારણોસર તે માતાને ઘરમાં લોક કરીને છોડીને જતો રહ્યો હોવાની શક્યતા છે. જોકે, માતાને તેમના પુત્ર રાજેશ ક્યાં રહે છે તેની પણ જાણ નહોતી. છેલ્લા એક મહિનાથી તેમના પુત્રએ તેમની કોઈ ભાળ લીધી નહોતી. સમાજમાં માતા-પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલોપુત્રની આ બેદરકારી અને માતાને તરછોડવાની ગંભીરતાને જોતા, વુમન ઇમ્પૂવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના ધોરણે વૃદ્ધાને આશ્રય આપવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વૃદ્ધાને સુરક્ષિત અને યોગ્ય કાળજી મળી રહે તે માટે વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવ્યા છે. કળિયુગમાં શ્રવણ બનવાના બદલે માતાને તરછોડવાની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માતા-પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. 'એક બહેનને તેના દીકરા અને વહુએ પૂરી રાખ્યા છે'ચેતનાબેન સાવલિયા (વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં સંસ્થાના સંચાલક) એ જણાવ્યું હતું કે, અમને સુરતમાં એક સોસાયટીમાંથી ફોન આવેલો કે અમારી સોસાયટીમાં એક ઘરની અંદર એક બહેનને તેના દીકરા અને વહુએ પૂરી રાખ્યા છે તો એમણે મદદરૂપ થાઓ અને એમને નર્કમાંથી છોડાઓ. તેઓ તુરંત તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી આડોશ પાડોશ વાળાની મદદથી જ્યાં બહેનને પૂરી રાખ્યા હતા. તે મકાન ખોલી અંદર પ્રવેશ કરતા ત્યાંનો નજારો જોઈ સૌ જૉનાર ચોંકી ઉઠ્યા હતા. જ્યાં એ બહેનની ઉંમર આશરે 65 વર્ષ ઉપર જણાઈ આવતી હતી અને તેમને જેમ કેદીઓને જેલમાં સળિયા પાછળ પૂરી રાખવામાં આવે એમ ઘરેજ એક જેલ જેવું બનાવી અને તેમાં આ બહેનને પૂરી રાખવામાં આવ્યા હતા. ચેતનાબેન દ્વારા વૃદ્ધાના દીકરા રાજેશને જાણ કરવામાં આવીબહેનને પૂછવામાં આવતા તેઓ જણાવ્યું હતું કે, મને છોકરો રાજેશ સારી રીતે જ રાખે છે. વહુ પણ સારી રીતે રાખે છે, પરંતુ જ્યારે પૂછતા કે જમવાનું ક્યારે આપે ત્યારે આ બહેન જણાવે છે કે મને સવારે જમવાનું આપી જાય છે પછી નથી આપતા તે છતાં દીકરા માટે રાજીપો રાખે છે. જ્યારે આ ઘટનાની જાણ ચેતનાબેન દ્વારા વૃદ્ધાના દીકરા રાજેશને જાણ કરવામાં આવી કે ત્યારે રાજેશભાઈ કારખાને હીરા ઘસતા હતા ત્યાંથી તેમને બોલાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:58 pm

વલસાડની અમિત હોસ્પિટલમાં ₹12.98 લાખની ઉચાપત:બિલિંગ ઓપરેટર સામે વિશ્વાસઘાતનો ગુનો દાખલ

વલસાડ શહેરની અમિત હોસ્પિટલમાં ₹12.98 લાખની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. આ મામલે હોસ્પિટલના બિલિંગ ઓપરેટર સુનિલ પટેલ સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ આર્થિક ગોટાળો ઓગસ્ટ 2024 થી નવેમ્બર 2024 દરમિયાન થયેલી બિલિંગ પ્રક્રિયામાં બહાર આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, 66 દર્દીઓ પાસેથી કુલ ₹21,96,994 વસૂલ થવા જોઈતા હતા. જોકે, હોસ્પિટલના સોફ્ટવેરમાં માત્ર ₹8,98,585 જ જમા કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, બાકીના ₹12,98,409 સુનિલ દ્વારા ગેરવહીવટ કરીને પોતાના અંગત ઉપયોગ માટે રાખવામાં આવ્યા હતા. આ ઉચાપત 17 ઓગસ્ટ 2024 થી 4 નવેમ્બર 2024 વચ્ચેના સમયગાળામાં થઈ હતી. બિલિંગ ઓપરેટર તરીકે સુનિલની જવાબદારી દર્દીઓના બિલ બનાવવા, રકમ વસૂલવી અને સોફ્ટવેરમાં તેની એન્ટ્રી કરવાની હતી. હોસ્પિટલ મેનેજમેન્ટે સુનિલનો એપોઈન્ટમેન્ટ લેટર, કર્મચારી વિગતો ફોર્મ અને દર્દીઓની બિલ-કમ-રસીદની નકલ સહિતના પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:52 pm

રાજકોટથી મુંબઈની કાલની 2 ફ્લાઈટ રદ:મુંબઈ એરપોર્ટ પર રન વેના કામને લીધે સાંજની હવાઈ સેવા ખોરવાશે

મુંબઈ એરપોર્ટ ઉપર ગુરુવારે (20 નવેમ્બર) ના સાંજે રન વે નું કામ હોવાને કારણે તમામ ફ્લાઈટની અવરજવર બંધ રાખવામાં આવી છે જેને લીધે દેશભરમાંથી મુંબઈ જતી આવતીકાલની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે જેથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સાંજની 1-1 ફ્લાઈટ રદ થશે. જેને કારણે હવાઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે જોકે સવારની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજકોટથી મુંબઈની ઈન્ડિગોની સાંજે 4.55 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે જ્યારે એર ઇન્ડિયાની સાંજે 6.05 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ પણ રદ થઈ છે. જેથી આવતીકાલે સાંજે રાજકોટથી મુંબઈ જવા માંગતા મુસાફરોને તકલીફનો સામનો કરવો પડશે. જોકે આ પરિસ્થિતિ માત્ર રાજકોટના જ મુસાફરોને નહીં પરંતુ સમગ્ર દેશના મુંબઈ જવા માગતા મુસાફરોને પડશે. રાજકોટથી એર ઇન્ડિયાની દરરોજ મુંબઈની 2 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં એક સવારની અને એક સાંજની છે. જ્યારે ઈન્ડિગોની મુંબઈની 3 ફ્લાઇટ ઉડાન ભરે છે. જેમાંથી ગઈકાલે બંને એરલાઇન્સની રાજકોટ થી મુંબઈ જતી એક -એક ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવતા મુસાફરોની મુશ્કેલી પડશે જોકે આ મુશ્કેલી આવતીકાલે માત્ર એક દિવસ માટે જ રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:42 pm

ગોધરામાં હડકાયા શ્વાને 9 લોકોને બચકાં ભર્યા:20 મિનિટમાં 4-5 લોકોને કરડ્યું, લોકોમાં ભયનો માહોલ

ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 9 જેટલા નિર્દોષ નાગરિકોને શ્વાને બચકાં ભર્યા હતા, જેના કારણે પ્રજાજનોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા શહેરના લીલેસરા, મકાનકૂવા અને પાવર હાઉસ પાસે આવેલા વાલ્મીકિ વાસ વિસ્તારમાં હડકાયા શ્વાને તરખાટ મચાવ્યો હતો. દિવસ દરમિયાન અલગ-અલગ સમયે આ ઘટનાઓ બની હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પાવર હાઉસ સ્થિત વાલ્મીકિ વાસમાં પરિસ્થિતિ સૌથી ગંભીર બની હતી, જ્યાં હડકાયા શ્વાને માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ 4 થી 5 લોકોને બચકાં ભરી લીધા હતા. એક રિક્ષાચાલક પોતાની રિક્ષામાં બેઠો હતો ત્યારે અચાનક આવેલા શ્વાને તેના હાથની આંગળી પર બચકું ભરી આંગળી ખેંચી નાખતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. શ્વાનના વધતા જતા આતંકને કારણે સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા હતા. વાલ્મીકિ વાસના લોકોએ સ્વબચાવ માટે અને શ્વાન અન્ય કોઈ બાળક કે વૃદ્ધને ન કરડે તે માટે સાવચેતીના ભાગરૂપે હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ઊભા રહી ચોકી પહેરો ભરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તાત્કાલિક ધોરણે આવા હડકાયા શ્વાનોને પકડીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:33 pm

અઢી વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો:દમણના દરિયામાં ટૂરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન, કરોડોની જમીનના ગુનામાં વચગાળાના જામીન પર ફરાર હતો

સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દમણના દરિયામાં જીવના જોખમે છેલ્લા અઢી વર્ષથી ફરાર ચાલી રહેલા એક વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. સુરતની અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં કરોડોની જમીનના ચીટિંગના ગુનામાં સંડોવાયેલો અને લાજપોર જેલમાંથી વચગાળાની રજા પર ફરાર થયેલો આરોપી અરવિંદ ઉર્ફે શીલા કાનજી માછી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીને પકડવા ટૂરિસ્ટ બનીને ત્રણ દિવસ દરિયામાં વોચ ગોઠવીક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આરોપીને પકડવા માટે એક અનોખી રણનીતિ અપનાવી હતી. ટીમે દમણમાં જઈને પોતાને પ્રવાસી તરીકે રજૂ કર્યા અને મોટી દમણથી ભાડેની બોટ લઈને નાની દમણ સુધીના દરિયામાં ફરવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી અરવિંદ ટંડેલ કૃપાલી સાગર નામની બોટમાં માછીમારી કરીને જેટી પર આવવાનો છે. આ માહિતીના આધારે, ત્રીજા દિવસે સ્ટાફ ભાડેની બોટમાં જ દરિયામાં વોચમાં ગોઠવાઈ ગયો. જોકે, આરોપી અરવિંદ એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા માટે તેણે બોટને જેટી પર લાવવાને બદલે જેટીથી લગભગ 20 ફૂટ દૂર દરિયાના પાણીમાં જ ઊભી રાખી દીધી હતી. આ જોખમી પરિસ્થિતિમાં પણ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે હિંમત ન હારી અને ભાડેની બોટમાં દરિયામાં જઈને આરોપીને ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. ફરાર આરોપીનું 'ડબલ લાઇફ' અને ગુનાહિત ઇતિહાસઅરવિંદ ટંડેલ લાજપોર જેલમાં બંધ હતો. તે 9મી માર્ચ, 2023થી 28મી માર્ચ, 2023 સુધી પુત્રીની સારવાર માટે 20 દિવસની વચગાળાની રજા પર બહાર આવ્યો હતો. રજા પૂરી થયા બાદ જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો અને દમણના દરિયાઈ વિસ્તારોમાં છુપાયેલો હતો. પોલીસથી બચવા માટે અરવિંદે અઢી વર્ષ સુધી પોતાનું આખું જીવન દરિયા પર કેન્દ્રિત કરી દીધું હતું. તે પોતાની બોટમાં અન્ય 18 માછીમારોને સાથે રાખીને સતત 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરવા નીકળી જતો હતો. આ સમયગાળા દરમિયાન તે લાખોની કમાણી પણ કરતો હતો. 17 દિવસ પછી તે માત્ર 2-3 દિવસ માટે ઘરે આવતો હતો. આ ટૂંકા ગાળામાં પણ તે દિવસ દરમિયાન દરિયામાં ફરતો રહેતો અને માત્ર રાત્રે જ પરિવારને મળવા જતો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે. અરવિંદ ટંડેલ 2022માં અઠવાલાઇન્સ પોલીસમાં દાખલ થયેલા ત્રણ ચીટિંગના ગુનાઓમાં વોન્ટેડ હતો. તેણે રૂપિયાની લાલચમાં નાનપુરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રેકર્ડ સાથે ચેડાં કરીને કરોડોની જમીનના ત્રણ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આ ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી હતી, જેના કારણે તે જેલમાં હતો અને ત્યાંથી ફરાર થયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:30 pm

ABVPની બિરસા મુંડા કળશ યાત્રા ગોધરા પહોંચી:કોમર્સ કોલેજ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ કળશ યાત્રા ગોધરા પહોંચી હતી. સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાના એનએસએસ યુનિટ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે. બિરસા મુંડાએ અંગ્રેજો સામે હિંમતપૂર્વક સંઘર્ષ કર્યો હતો અને માતૃભૂમિ માટે શહીદી વહોરી હતી. તેમના વતનમાંથી લાવવામાં આવેલી પવિત્ર માટી ભરેલા કળશનું કોમર્સ કોલેજ ખાતે સ્વાગત કરાયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં એનએસએસ સ્વયંસેવકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બિરસા મુંડાના સંદેશને ઘરે-ઘરે પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે, ABVPના પંચમહાલ જિલ્લા સંયોજક હર્ષ પરમારે ભગવાન બિરસા મુંડા વિશે અને કળશ યાત્રાના ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એનએસએસ લીડર ભવ્ય દેવડા અને કુ. હર્ષિતા ચતવાણીએ કાર્યક્રમના આયોજનમાં સહયોગ પૂરો પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:21 pm

ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ ફરી શરૂ કરવા રહીશોની માંગ:વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત

ગોધરા શહેરમાં ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીના કારણે લાલબાગ બસ સ્ટેન્ડને હંગામી ધોરણે ભુરાવાવ એસ.ટી. વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ નિર્ણયથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ બસ સ્ટેન્ડને સત્વરે પુનઃ શરૂ કરવા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પંચમહાલ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, હંગામી ધોરણે શરૂ કરાયેલું બસ સ્ટેન્ડ મુખ્ય રોડથી 500 થી 600 મીટર અંદર આવેલું છે. જ્યાં મુસાફરો માટે બેસવાની કે છાયડાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. ઉનાળાની ગરમી અને ચોમાસામાં લોકોને ખુલ્લામાં ઊભા રહેવું પડે છે, જેનાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, શહેરના મધ્યમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન, કોર્ટ, કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓ નજીક પડતી હતી. જ્યારે હાલના હંગામી બસ સ્ટેન્ડથી આ સ્થળોએ જવા માટે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક બોજ સહન કરવો પડે છે. લાલબાગ બસ સ્ટેન્ડની આસપાસ વર્ષોથી ધંધો કરતા નાના-મોટા વેપારીઓની હાલત પણ કફોડી બની છે. બસ સ્ટેન્ડ સ્થળાંતરિત થતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના પરિણામે અનેક વેપારીઓના રોજગાર પડી ભાંગ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અરજદારોએ જણાવ્યું હતું કે ફ્લાયઓવરનું કામ પોલીસ હેડક્વાર્ટર સુધીનું છે, જ્યારે લાલબાગ બસ સ્ટેન્ડ તે વિસ્તારની બહાર આવે છે. ત્યાં જવા માટે ડબલ ટ્રેક રોડ અને બ્રિજ ઉપલબ્ધ હોવાથી ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાતી નથી. ઉલટાનું, ભુરાવાવ ચોકડી પર ટ્રાફિક જામ થવાના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી. છેલ્લા 46 વર્ષથી (1981-82 થી) કાર્યરત લાલબાગ બસ સ્ટેન્ડને ફરીથી મૂળ જગ્યાએ ચાલુ કરવા માટે સ્થાનિકોએ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:15 pm

પાલનપુર-આબુ હાઇવે પર ગેરેજમાં આગ લાગી:ગેરેજનો સામાન બળીને ખાખ, આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-આબુ હાઇવે પર ચેકપોસ્ટ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં સાંજના સમયે આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ગેરેજમાં રાખેલો સરસામાન આગની લપેટમાં આવી ગયો હતો. આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગની ઘટનાને પગલે હાઇવે પર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:13 pm

ગોધરામાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપવા કલેક્ટરને આવેદન:ભારત વિકાસ પરિષદે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનની દરખાસ્તને સમર્થન આપ્યું

ગોધરા-દાહોદ રોડ પર આવેલી પરવડી ચોકડી ખાતે ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવા અને સ્થળનું નામકરણ કરવા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. હાલ દેશભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે ગોધરાના આદિવાસી વિકાસ ફાઉન્ડેશન દ્વારા પરવડી ચોકડી પર પ્રતિમા મુકવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ભારત વિકાસ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આવેદનપત્રમાં વહીવટી તંત્ર દ્વારા દેશની આઝાદી અને ધર્માંતરણ સામે લડનાર બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવાની વહેલી તકે મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભવાનીશંકર ત્રિપાઠી, મંત્રી અરવિંદસિંહ સિસોદિયા, પ્રકાશભાઈ દીક્ષિત, વિનાયક શુક્લ, દેવલભાઈ શાહ, અર્પિતભાઈ જોશી અને કૃણાલ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:10 pm

વાપીમાં ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી:300 મિલકત ધારકોને નોટિસ બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રાખી હતી. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ મોટા પાયે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત મોરાઈ વિસ્તારમાં ભંગારના 12 ગેરકાયદેસર ગોડાઉન, મુક્તાનંદ માર્ગ પર કોમન પ્લોટમાંથી બનેલી ગેરકાયદેસર દુકાનો અને નાયકવાડ કચીગામ રોડ પરના ભંગારના 18 ગોડાઉન તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નામધા રોડ વિસ્તારમાં એક ગેરકાયદેસર ચાલનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કોર્પોરેશનનો ઇલેક્ટ્રિક વિભાગ, ફાયર વિભાગ, વાપી શહેર પોલીસ સ્ટાફ અને વીજળી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને ચીમકી આપી છે કે કોઈપણ બાંધકામ શરૂ કરતા પહેલાં ફરજિયાત પરવાનગી મેળવવી. રહેણાંક વિસ્તારોમાં GPCB અને ફાયર વિભાગના 'ના વાંધા પ્રમાણપત્ર' વિના ભંગારના ગોડાઉન કે આવા વ્યવસાયો ન કરવા પણ અપીલ કરાઈ છે. વાપી મહાનગરપાલિકા દ્વારા આશરે 300 ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ બાંધકામો સામે વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં મિલકત ધારકો દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં, મહાનગરપાલિકાની ટીમે બીજા દિવસે પણ ડિમોલિશન ચાલુ રાખ્યું હતું. આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:10 pm

પંચમહાલમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કામગીરી:462 આરોપીઓના ચેકિંગની ઝુંબેશ શરૂ, 100 જેટલા ઇસમોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૪૬૨ આરોપીઓના ચેકિંગ અને વેરિફિકેશન માટે પોલીસે એક વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળેલા વિશેષ આદેશના આધારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સ્તરે મળેલી સૂચના અનુસાર, છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત દાખલ થયેલા તમામ ગુનાઓના આરોપીઓનું 100 કલાકની અંદર ચેકિંગ અને વેરિફિકેશન કરવાનો આદેશ અપાયો હતો. આ આદેશને અનુરૂપ પંચમહાલ જિલ્લામાં પણ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. પંચમહાલ-દાહોદ-મહીસાગર રેન્જ આઇજી આર.વી. અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત દ્વારા જિલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કુલ 462 આરોપીઓનું તાત્કાલિક ચેકિંગ કરવાનો સમાવેશ થાય છે. આ સૂચના મુજબ, પંચમહાલ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં આશરે 100 જેટલા ઇસમોનું ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કર્યું છે. બાકીના આરોપીઓની તપાસની કામગીરી ઝડપથી ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં શાંતિ-સુવ્યવસ્થા જાળવવાનો અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાથવાનો છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ફરી ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલો જોવા મળશે તો તેના સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ એમ પણ જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:08 pm

SMC એ વલસાડમાં દારૂનો જથ્થો ઝડપ્યો:₹8.46 લાખના દારૂ સાથે 5 શખ્સોની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વલસાડ જિલ્લામાં દારૂબંધીના ભંગ સામે કડક કાર્યવાહી કરી છે. 19 નવેમ્બર 2025ના રોજ ઠાકરવાડા ગામથી કલવાડા રોડ તરફ અતુલ ફળિયા ખાતે દરોડો પાડી ₹8.46 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બેને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે કુલ ₹8,46,929/- નો મુદ્દામાલ કબજે લીધો હતો. જેમાં 2,203 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, દારૂની હેરાફેરીમાં વપરાયેલા પાંચ વાહનો અને પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલો દારૂ દમણની ખેમાણી ડિસ્ટીલરી, જ્યુપિટર ડિસ્ટીલરી અને નાશિકની પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા પ્રા. લિ. જેવી કંપનીઓમાંથી સપ્લાય થતો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી કરતા મોપેડ ડ્રાઈવરો સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વિરલ હળપતિ, આશિષ પટેલ, સાગર પટેલ, શુભમ સિંહ અને માનસિંગ સિંહનો સમાવેશ થાય છે. આ કેસમાં દમણથી દારૂ સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર કુણાલ ઉર્ફે લાલુ પટેલ અને દારૂનો રીસિવર અંકિત (વાઘલધરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ગુનામાં પ્રોહીબિશન અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પી.એસ.આઇ. આર.જી. વાસવા અને તેમની ટીમે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. વધુ તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:06 pm

હિંમતનગર સિવિલમાં બાઇક ચોર ઝડપાયો:સિક્યોરિટીએ પકડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં બાઇક ચોરી કરતા એક શખ્સને સિક્યોરિટી ગાર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બુધવારે સાંજે બનેલી આ ઘટના બાદ ઝડપાયેલા શખ્સને સિવિલ પોલીસ ચોકી મારફતે હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં સિવિલ સ્ટાફ, મુલાકાતીઓ અને દર્દીઓના પરિવારજનોના વાહનો પાર્ક કરવામાં આવે છે. બુધવારે સાંજે, સિક્યોરિટી ગાર્ડની સતર્કતાને કારણે એક શખ્સ પાર્ક કરેલી બાઇકને ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. સિક્યોરિટી દ્વારા પકડાયા બાદ તેને સિવિલ મેનેજમેન્ટને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સે દિવસ દરમિયાન અન્ય એક બાઇકની પણ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ તે બાઇક ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો. આ માહિતી મળતા જ સિવિલ મેનેજમેન્ટે હિંમતનગર સિવિલમાં આવેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ચોકીને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી શખ્સને કસ્ટડીમાં લીધો હતો અને તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આ શખ્સે કેટલી બાઇકની ચોરી કરી છે અને કઈ રીતે કરી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:04 pm

વલસાડના સાંસદ ધવલ પટેલે AAP પર પ્રહાર કર્યાં:ચૈતર વસાવાને 'ટુકડે-ટુકડે ગેંગ'ના સભ્ય ગણાવ્યાં

વલસાડના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી (AAP) અને તેના નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૈતર વસાવાને 'ટુકડે-ટુકડે ગેંગ'ના સભ્ય ગણાવ્યા હતા. સાંસદ પટેલે આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે નવસારીમાં આમ આદમી પાર્ટીની 'ગુજરાત જોડે યાત્રા'માં ખાલી ખુરશીઓ જોઈને વસાવા બોખલાઈ ગયા છે. આ પહેલા, વલસાડ જિલ્લામાં AAPની 'ગુજરાત જોડે યાત્રા'ને મળેલો નિરાશાજનક પ્રતિસાદ જોઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાના દંડક ધવલ પટેલ અને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. વસાવાએ તેમને 'જુઠ્ઠાલાલ' ગણાવી લોકો તેમની વાતોમાં ન આવે તેમ જણાવ્યું હતું. વાંસદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ એ દર્શાવે છે કે લોકોએ AAPને જાકારો આપ્યો છે, તેમ ધવલ પટેલે ઉમેર્યું હતું. ધવલ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે ફરીથી કહ્યું કે, વસાવા આદિવાસીઓને ખોટી દિશામાં દોરી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે દાવો કર્યો કે, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હી જેવી જ થશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 9:03 pm

સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5 નું પેપર રદ:એક અધ્યાપકના લીધે 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરના લેવાયેલું BCA સેમેસ્ટર 5નું 50 માર્કનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. કારણકે જામનગરની એચ.જે દોશી કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે જે પેપર કાઢવામાં આવ્યું હતું. તે જ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા ABVPના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બંને પેપર એક સરખા હોવાનું સાબિત થતા યુનિવર્સિટીએ પેપર રદ કરવું પડ્યું છે. હવે આ થિયરી પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જેનાથી 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે. પ્રોગામિંગ ઈન પાયથનનું પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે. હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે. જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જામનગરની દોશી કોલેજના પ્રિન્સિપાલે ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ ઉલ્લેખની છે કે, ગત તારીખ 13 નવેમ્બરના રોજ ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આજના બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું. બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર અધ્યાપક જામનગરની દોશી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. તોશિફખાન પઠાણ દ્વારા ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તે સાચો ઠર્યો હતો. કારણ કે બંને પેપર એક સરખા જ હતા. પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વખત આપવું પડશેઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે કુલપતિ હાજર ન હોવાથી VC ડૉ.ઉત્પલ જોશી ગાયબ છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જે બાદ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રશ્ન પરીક્ષા વિભાગનો હોવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ અને OSD નિલેશ સોનીને જાણ કરવામાં આવી હતી. જે પછી હવે પેપર રદ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:42 pm

જામનગરમાં 21 નવેમ્બરે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ:ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું પરીક્ષણ, NDMA અધિકારીઓએ સમીક્ષા કરી

જામનગરમાં 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA), ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે યોજાશે. વર્ષ 2019 પછી જામનગરમાં આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ યોજાઈ રહી છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું પરીક્ષણ કરવાનો છે. રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ મોકડ્રિલ યોજવામાં આવશે. મોકડ્રિલના આયોજન માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDMA દિલ્હીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, સેનાના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે આ મોકડ્રિલ વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરશે. NDMAના અધિકારી આદિત્યકુમાર અને તેમની ટીમ જામનગર પહોંચી સમગ્ર ડ્રિલનું સંકલન અને સંચાલન કરી રહી છે. આ ડ્રિલમાં કેન્દ્ર અને ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાંખ અને કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાશે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલના આયોજન સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કલેક્ટર કેતન ઠક્કરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના હિત માટે કોઈપણ ડિઝાસ્ટરનો સામનો કરવા સક્ષમ અને કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:34 pm

નવસારીમાં ગઠિયાએ મહિલા સાથે છેતરપિંડી આચરી:અમેરિકા સ્થિત પતિના નામે ફોન કરી વિશ્વાસ કેળવી છેતરપિંડી, ઓનલાઈન પૈસા વધુ મોકલાઈ ગયાનું કહી રૂ. 67 હજાર ખંખેરી લીધા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં એક મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા ઠગે મહિલાના ગુગલ પે એકાઉન્ટમાંથી કુલ ₹67,000 પડાવી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પીડિત મહિલાના પતિ હાલમાં અમેરિકામાં રહે છે, જેનો લાભ લઈને આ છેતરપિંડી કરવામાં આવી હતી. સાદકપોર ગામના રહેવાસી હંસાબેન સુરેશભાઈ પટેલને 4 નવેમ્બર, 2025 ના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ અનિલ જણાવ્યું અને કહ્યું કે, તેણે હંસાબેનના પતિ સુરેશભાઈને ₹10,000 આપવાના છે, પરંતુ તેમના ગુગલ પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા નથી. તેથી સુરેશભાઈએ તેમના નંબર પર પૈસા મોકલવા કહ્યું છે. ઠગ અનિલે હંસાબેનને જણાવ્યું કે, તે ₹3,000, ₹3,000 અને ₹4,000 એમ હપ્તામાં રકમ મોકલવાનો હતો, પરંતુ ઉતાવળમાં તેનાથી ₹33,000, ₹30,000, ₹40,000 અને ₹10,000 ના મેસેજ આવી ગયા છે. હંસાબેનના મોબાઈલ પર ખરેખર ₹33,000, ₹30,000, ₹40,000 અને ₹10,000 ક્રેડિટ થયાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. આ મેસેજ મળ્યા બાદ, ઠગ અનિલે વારંવાર ફોન કરીને તેનાથી વધારે ટ્રાન્સફર થયેલી રકમ (કુલ ₹93,000) પરત આપવા માટે ઉતાવળ કરાવી. હંસાબેને બેંક બેલેન્સ તપાસ્યા વગર અનિલના કહેવા પ્રમાણે કાર્યવાહી કરી. અનિલે તેમના WhatsApp પર મેસેજ કર્યો. હંસાબેને WhatsApp ની મની ટ્રાન્સફર સુવિધાનો ઉપયોગ કરીને ₹27,000 ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ રહ્યો. ત્યારબાદ અનિલે બીજા મોબાઈલ નંબર પરથી મેસેજ કર્યો. હંસાબેને ફરીથી WhatsApp અને Google Pay નો ઉપયોગ કરીને, પ્રથમ ₹27,000 અને પછી ₹40,000 મળીને કુલ ₹67,000 ની રકમ ટ્રાન્સફર કરી દીધી. જ્યારે મહિલાએ પોતાનું બેંક એકાઉન્ટ તપાસ્યું, ત્યારે તેમાં કોઈ રકમ જમા થઈ ન હતી, અને તેમને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું. પીડિત હંસાબેન પટેલે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેનો એક્નોલેજમેન્ટ નંબર 31111250224268 છે. સાયબર ફ્રોડના આ ગુનામાં સંડોવાયેલા ઈસમોને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:31 pm

સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા કોલેજને સૂચના:4 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી અને 9 ડિસેમ્બર સુધી લેટ ફી લેવાશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ડેવલપમેન્ટ ફી ભરવી પડશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા માટે તમામ કોલેજોને સૂચના આપી છે. તમામ કોલેજોના આચાર્યને સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. આગામી 4 ડિસેમ્બર સુધી રેગ્યુલર અને ત્યારબાદ 9 ડિસેમ્બર સુધી લેટ ફી લેવામાં આવશે. જરૂરી બીડાણો લગાવી નિયત પત્રક અને ફી કોલેજોએ સમયસર જવા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજો માટે એનરોલમેન્ટ ફોર્મની કિંમત 25 રૂપિયા અને એનરોલમેન્ટ ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક ફેકલ્ટીના અલગ અલગ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ની યાદી જમા કરાવતા પહેલા તમામ ચકાસણી કરવાની પણ કોલેજોને સૂચના આપવામાં આવી છે. તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ડેવલોપમેન્ટ ફી અને એનરોલમેન્ટ ફોર્મ અલગ અલગ ડ્રાફ્ટ સાથે જમા કરાવવી પડશે. ડેવલોપમેન્ટ ફી વગર એનરોલમેન્ટ ફી ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:29 pm

અમદાવાદમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન':કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસની ભાવનગરની મુલાકાતને લઇને ડ્રોન ન ઉડાડવા પોલીસ કમિશનરનું જાહેરનામું

દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જ્યાં અમદાવાદથી ભાવનગર જવાના હોવાથી અમદાવાદમાં બે દિવસ માટે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને શહેરમાં આ સમય દરમિયાન કોઈ પ્રકારના ડ્રોન કે અન્ય કોઈ રીમોટથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહીં. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21-22મી નવેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેઓ અમદાવાદ થઈને ભાવનગર જવાના હોવાથી પોલીસ કમિશનર દ્વારા આ સમય દરમિયાન નૉ-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ શહેરમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કૉપ્ટર, હેંગ ગ્લાઇડર કે પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન અને પેરા જમ્પિંગનો ઉપયોગ કરી શકાશે નહીં. શહેરમાં કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:23 pm

દેવગઢ બારીયામાં સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રા:મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો, એકતાનો સંદેશ અપાયો

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં આજે એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા સાંસદ જશવંતસિંહ ભાભોરના વડપણ હેઠળ યોજાઈ હતી. પદયાત્રા સરદાર પટેલ સર્કલથી શરૂ થઈ અવંતિ ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રાના પ્રારંભે મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. માર્ગમાં નગરજનોએ પુષ્પવર્ષા કરીને પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો છે. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને એક થઈને આગળ વધવા અને જીવનમાં એકતા, રાષ્ટ્રસેવા તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને અપનાવવા હાકલ કરી હતી. ધારાસભ્ય બચુ ખાબડે કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર એક નેતા જ નહીં, પરંતુ અખંડ ભારતના શિલ્પી હતા. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' બનાવીને સરદારને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. વિકસિત ભારત માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો અત્યંત જરૂરી છે. પદયાત્રાના અંતે, ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પક્ષના સંગઠન પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ પદયાત્રામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:19 pm

બનાસકાંઠામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ:ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક, 22 અને 23 નવેમ્બરે BLO મતદાન મથકે હાજર રહેશે

બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. જિલ્લા ચૂંટણી વિભાગે નાગરિકોને 22 અને 23 નવેમ્બરના રોજ પોતાના મતદાન મથકે હાજર રહેલા BLOને ફોર્મ જમા કરાવવા અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી મતદારયાદી સઘન સુધારણા કામગીરી હેઠળ નાગરિકોએ ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને BLOને જમા કરાવવા પડશે. મતદાન મથકે ફોર્મ જમા કરાવવાની આ અંતિમ તક છે. આગામી 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 09:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી BLO (બૂથ લેવલ ઓફિસર) પોતાના મતદાન મથક ઉપર ઉપલબ્ધ રહેશે. જિલ્લાના નાગરિકોને આ સમયગાળા દરમિયાન પોતાના ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. મતદારયાદી સુધારણા પ્રક્રિયાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ, છાપકામ/તાલીમ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 સુધી, ઘર-ટુ-ઘર ગણતરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. મતદાર યાદીનો મુસદ્દો 9 ડિસેમ્બર 2025ના રોજ પ્રકાશિત થશે. દાવા-વાંધા માટેનો સમયગાળો 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધીનો રહેશે, જ્યારે નોટિસ તબક્કો – સુનાવણી/ચકાસણી 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ થશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદારો સામેલ ન થાય. જિલ્લા ચૂંટણી વિભાગે આ ઝુંબેશને સફળ બનાવવા નાગરિકોના સહયોગની અપેક્ષા રાખી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:11 pm

પાણશીણામાં ડામર રોડનું ખાતમુહૂર્ત:લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે વિકાસકાર્યનો પ્રારંભ, વાહન ચાલકોને રાહત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે ₹2.51 કરોડના ખર્ચે બનનારા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આ વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો. આ રોડ નેશનલ હાઈવે (N.H.)થી હડાળા રોડ (M.D.R.) સુધી બનાવવામાં આવશે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ રોડ લીંબડી વિસ્તારના ગામોમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને પરિવહન તેમજ કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહ્યો છે. આ નવનિર્મિત રસ્તો તૈયાર થવાથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને અવરજવરમાં રાહત મળશે. આનાથી વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. ખાતમુહૂર્ત સમારોહમાં લીંબડી વિસ્તારના અગ્રણીઓ રાજભા ઝાલા, હરપાલસિંહ અને વજુભા રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, લીંબડીના નાયબ કાર્યપાલક ઈજનેર અને સેક્શન ઓફિસર પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:10 pm

રાજકોટ સમાચાર:રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરમાં માલગાડી અને કોચ વચ્ચર ટક્કરની સફળ મોકડ્રિલ યોજાઈ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે હાઇ-ઇન્ટેન્સિટી મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સંયુક્ત અભ્યાસમાં એનડીઆરએફ, રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ સક્રિય સહભાગિતા કરી હતી. આ મોકડ્રિલ દરમિયાન સવારે 08.30 કલાકે એક કાલ્પનિક દુર્ઘટના હેઠળ, એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા કેમ્પિંગ કોચ સાથે ટક્કર થઈ, જેના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હોવાની પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં રાજકોટથી એક્સિડન્ટ રીલિફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) અને એક્સિડન્ટ રીલિફ ટ્રેન (ART) તાત્કાલિક સુરેન્દ્રનગર મોકલવામાં આવી હતી. રેલવે તેમજ NDRFની સંકલિત ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ 12 'ઘાયલ' કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. બપોરે લગભગ 11.33 કલાકે સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ વિભાગોની ત્વરિત પ્રતિભાવ ઉપરાંત પરસ્પર સંકલનની અસરકારકતા ચકાસવાનો હતો. વોર્ડ નંબર 13માં પાણીની લાઇન શરૂ કરવામાં વિલંબને પગલે કોર્પોરેટર અને અધિકારી વચ્ચે બોલાચાલી ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી અને મનપાનાં વોટર વર્ક્સનાં કર્મચારી જયેશ ગોહેલની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મારા વિસ્તારમાં આ સમસ્યા હોવાથી અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે વોર્ડમાં નવી પાણીની લાઇન નાખવામાં આવી હોવા છતાં, છેલ્લા 5 દિવસથી પાણીનો પ્રશ્ન છે. ત્યારે જો તમે પગાર લો છો, તો તમારે પગાર પ્રમાણે કામ પણ કરવું જોઈએ અને હાજર રહેવું જોઈએ. આ વાતચીત દરમિયાન કોર્પોરેટરે ઉગ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને અધિકારીને ઠપકો આપ્યો હતો, ખાસ કરીને જ્યારે તેમણે કહ્યું કે બપોરે 1 વાગે ને 25 મિનિટે વાર ખુલે છે, ત્યારે પણ નવી લાઇન હોય તો 5 દિવસ સુધી તેના પર ધ્યાન આપવું જરૂરી છે. કોર્પોરેટરે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ મારામારી નહોતી, પરંતુ લોકો માટે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમણે માત્ર અધિકારીને સખ્ત સૂચના આપી હતી. સમગ્ર મામલો માત્ર આટલી બોલાચાલી સુધી સીમિત રહ્યો હતો. રાજકોટમાં છૂટા સિક્કાની અછતને પગલે HDFC બેન્ક બહાર અરજદારોની લાંબી લાઈનો લાગી રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક આવેલી HDFC બેન્કની બહાર આજે વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. બજારમાં છૂટા સિક્કાની ભારે અછત હોવાને કારણે, બેન્ક દ્વારા અપાતા 10 અને 20 રૂપિયાના બંડલમાં રહેલા છૂટા પાંચના સિક્કા લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બેન્કની બહાર સર્જાયેલા આ દ્રશ્યો નોટબંધીના સમયની યાદ અપાવે તેવા હતા.લાઈનમાં ઊભેલા પાનના ધંધાર્થી મનોજ ગોરસિયાએ જણાવ્યું હતું કે, બજારમાં છૂટા સિક્કાની ખૂબ તકલીફ છે. તેમને દરરોજ 2 થી 3000 રૂપિયાના છૂટા સિક્કાની જરૂર પડે છે, કારણ કે 23 રૂપિયાની ફાકી હોય તો ગ્રાહકોને ફરજિયાત 7 રૂપિયા પાછા આપવા પડે છે, અને ગ્રાહકો પાસે પણ છૂટા પૈસા હોતા નથી.તેમણે ઉમેર્યું હતું કે છૂટા પૈસા લેવા માટે ધંધો બંધ કરીને અહીં આવવું પડે છે, જેના કારણે ધંધા પર પણ અસર થાય છે. લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવાથી સમય બગડે છે અને ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. છૂટા સિક્કાની આ અછતને કારણે પાનનાં અન્ય ધંધાર્થીઓને પણ આવી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં પથરાયેલા વૃક્ષોનું આયુષ્ય કેટલું?: મનપા દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા ટેન્ડર જાહેર રાજકોટમાં જુદાજુદા સ્થળોએ પથરાયેલા નાના મોટા વૃક્ષોનું આયુષ્ય નક્કી કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલી જ વાર વૈજ્ઞાનિક ઢબે સર્વે હાથ ધરાનાર છે. મહાનગરપાલિકાના તમામ બાગ બગીચાઓ, મનપા હસ્તકની તમામ મિલકતો, સરકારી, ખાનગી અને ટ્રસ્ટની મિલકતો અને જાહેર માર્ગો પર પથરાયેલા વૃક્ષોનો વૈજ્ઞાનિક ઢબે સર્વે કરીને વૃક્ષ નિષ્ણાંતો તેમજ પર્યાવરણ જાણકારો મારફત વૃક્ષોની ઉંચાઈ અને થડની જાડાઈ આધારે આયુષ્ય નક્કી કરશે. સાથોસાથ આ તમામ સ્થળોએ વૃક્ષોનું જીઓ ટેગિંગ પણ થશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના બાગ બગીચાઓ અર્બન ફોરેસ્ટ વન સહિત શહેરભરમાં મોટી સંખ્યામાં વૃક્ષો પથરાયેલા છે. મહાનગરપાલિકા હવે વૃક્ષોના જીઓ ટેગિંગ સાથે વૃક્ષોના થડની જાડાઈ અને ઉંચાઇ આધારે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા માટે રૂ. 65 લાખના એસ્ટિમેન્ટ સાથે ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં 5 વર્ષથી માંડીને 50 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષોનો સર્વે કરાશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:08 pm

ધ્રાંગધ્રામાં આવતીકાલે સરદાર @150 યુનિટી માર્ચનું આયોજન:મોટા અંકેવાળીયાથી નારીચણા સુધી પદયાત્રા યોજાશે, અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું

ધ્રાંગધ્રા ખાતે આવતીકાલે સવારે 7 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર @150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા પદયાત્રા માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. આ મેગા ઇવેન્ટના રૂટ અને વ્યવસ્થાપનનું નિરીક્ષણ આજે વહીવટી અધિકારીઓ અને આયોજન સમિતિના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. નિરીક્ષણ માટે ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર સહિત વહીવટી ટીમ જોડાઈ હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સહ-ઈન્ચાર્જ જીવણભાઈ ડાંગર અને રાજુભાઈ પટેલ, તેમજ ગ્રામ્ય મંડલ પ્રમુખ રીતુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યાત્રાના પ્રારંભથી લઈને સમાપન સુધીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ ટીમે સૌ પ્રથમ માર્ચના પ્રસ્થાન સ્થળ મોટા અંકેવાળીયા ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ટીમે માર્ચના સમાપન સ્થળ નારીચણા ગામની મુલાકાત લીધી, જ્યાં માર્ચના અંતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. નિરીક્ષણ બાદ, ઉપસ્થિત મહાનુભાવોએ ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને યુનિટી માર્ચની સફળતા માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર આયોજન સરદાર પટેલના આદર્શોને સમર્પિત, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી બની રહે તે માટે તંત્ર અને સમિતિ કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:08 pm

લુણાવાડામાં ભગવાન બિરસા મુંડા બસ સેવા શરૂ:સરહદી ગામોના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવા નવી બસોને લીલી ઝંડી

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા બોર્ડર વિલેજ યોજના અંતર્ગત સરહદી ગામોના વિદ્યાર્થીઓ માટે ભગવાન બિરસા મુંડા બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી આ નવી બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસ સેવાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને અગ્રણી દશરથભાઈ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને તેમના ઘરેથી શાળા સુધી સરળતાથી પહોંચાડવાનો છે. આનાથી તેમને શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને તેમનો શૈક્ષણિક વિકાસ વધુ સરળ બનશે. આદિજાતિ વિકાસ વિભાગનું આ પગલું સરહદી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:06 pm

બોટાદના લાખેણી ગામે ભાજપનું સ્નેહમિલન યોજાયું:જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર, દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત, બોટાદના લાખેણી જિલ્લા પંચાયત બેઠકમાં લાખેણી ગામે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલન બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલનથી યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બોટાદ તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવાનો અને સંગઠનની ઘનિષ્ઠતા વધારવાનો હતો. આ દરમિયાન, આગામી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગેવાનોએ સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે અપીલ પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:04 pm

ઢસામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું:જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ગઢડા તાલુકાના ઢસા ગામે ઢસા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન અને સંકલનથી આયોજિત કરાયો હતો. જેમાં જિલ્લાના ઈન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જયરાજભાઈ પટગીર, કિરીટભાઈ હુમલ, ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, મહામંત્રી જીતુભાઈ તુવર, ગઢડા તાલુકા પંચાયતના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ આ સ્નેહમિલનમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવા, સંગઠનની ઘનિષ્ઠતા વધારવા અને આવનારી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગેવાનોએ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લોકોને સ્વદેશી અપનાવવા અપીલ પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:02 pm

લોહપુરુષની 150મી જન્મજયંતી નિમિતે પદયાત્રા યોજાઈ:ગાંધીનગર દક્ષિણની સરદાર પટેલની ગૌરવ યાત્રામાં યુવાનો સાથે ચાલીને નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની યાત્રામાં જોડાયા હતા. ભાઈજીપુરાથી કુડાસણ સુધી યોજાયેલી સરદાર પટેલની ગૌરવ યાત્રામાં યુવાનો સાથે ચાલીને નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે હર્ષ સંઘવી જોડાયાભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી બે દિવસીય પદયાત્રાના પ્રથમ દિવસે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની યાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રાનો પ્રારંભ પાંચેક વાગે પીડીપીયુ ક્રોસ રોડ (શ્યામ શુકન) પાસેથી થયો હતો. 'સરદારનું એકતાનું વિઝન આજે પણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ'નાયબ મુખ્યમંત્રી સંઘવીએ પદયાત્રીઓ સાથે ચાલીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ યાત્રા સરદાર ચોક, કુડાસણ ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા યુવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધારતા સંઘવીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબનું એકતાનું વિઝન આજે પણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને એકીકરણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં 19 અને 20 નવેમ્બર દરમિયાન પાંચ વિધાનસભા વિસ્તારોમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલોલ વિધાનસભા વિસ્તારમાં પણ નારદીપુરથી ધમાસણા સુધી પદયાત્રા યોજાઈ હતી. આવતીકાલે, 20 નવેમ્બરના રોજ ગાંધીનગર ઉત્તર, દહેગામ અને માણસા વિધાનસભા વિસ્તારોમાં એકસાથે પદયાત્રાનો પ્રારંભ થશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:01 pm

બોટાદના હડદડમાં ખેડૂત-પોલીસ ઘર્ષણનો કેસ:ધરપકડ કરાયેલા 68માંથી 6 લોકોને હાઈકોર્ટે જામીન આપ્યા

બોટાદના હડદડ ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે છ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. પોલીસે આ કેસમાં કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી 68 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે છ લોકોને જામીન મળ્યા છે તેમાં વાલજી નાથા મેર (મોટા ભડલા), દલસુખ ત્રીકમ જીડિયા (ટાટમ), ઘનશ્યામ ધરમશી ગોહિલ (સાગુઈ), વિનુ મોહન ધોરીયા, ઓધા હરજી ધોરીયા અને રાજેશ પુના ધોરીયાનો સમાવેશ થાય છે. આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે બની હતી. કપાસમાં કડદાના મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે ગેરકાયદેસર રીતે અને મંજૂરી વગર મહાપંચાયત યોજીને પોલીસ પર પથ્થરમારો કરવા બદલ 85 લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. આ 85 આરોપીઓ પૈકી પોલીસે 68 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ૧૭ લોકો હજુ ફરાર છે. ધરપકડ કરાયેલા 68 લોકોમાંથી 6 લોકોને હાઈકોર્ટે અમુક શરતોને આધીન જામીન આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 8:00 pm

મેઉ ગામ ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી:મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું- રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા

દર વર્ષે સમગ્ર વિશ્વમાં તા.19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના મેઉ ખાતે રાજ્યકક્ષાના વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. PM દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો શુભારંભ કરવામાં આવ્યોઆ પ્રસંગે સંબોધન કરતા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગામડાઓ દેશની કરોડરજ્જુ સમાન છે, જો ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો દેશ પણ સ્વચ્છ અને સમૃદ્ધ બનશે. ગાંધીજી સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે હંમેશા આગ્રહ રાખતા હતા. આથી, સ્વચ્છતાને અગ્રતાક્રમ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો શુભારંભ કરવામાં આવ્યો અને આ મિશન હેઠળ ગાંધીજીની જન્મ જયંતી એટલે કે 2 ઓક્ટોબર, 2019ના રોજ આપણા દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવામાં આવ્યો છે. 17 હજાર જેટલા ગામડાઓમાં નિયમિત ધોરણે ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શનવધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં 8,168 સામૂહિક શૌચાલયના બાંધકામ કરાયા છે. આ ઉપરાંત પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામમાં 5.55 લાખ વ્યક્તિગત સોકપીટ અને 1.43 લાખ સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીને ભાગરૂપે 17 હજાર જેટલા ગામડાઓમાં નિયમિત ધોરણે ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરાય છે. રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1286 ગોવર્ધન વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પણ બન્યા છે. ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધવધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી “અમારું શૌચાલય, અમારું ભવિષ્ય” અભિયાન હેઠળ શૌચાલયના ઉપયોગના સંદેશ અને સ્વચ્છતા અને સન્માનના મૂલ્યોને સમર્થન આપવામાં આવશે ત્યારે મંત્રીએ આ અભિયાનમાં સૌને સહભાગી થઈ ગુજરાતને માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ, ગૌરવ અને આરોગ્યની રાષ્ટ્રીય મિસાલ બનાવવા અનુરોધ કર્યો હતો. ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્રો અને સફાઈ કામદારોને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સામુહિક શૌચાલયના મરામત અને નિભાવણી માટે ગ્રામ પંચાયત અને સખી મંડળ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:59 pm

રાજ્ય નાણાં પંચ અધ્યક્ષે સાબરકાંઠાની મુલાકાત લીધી:જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા રાજ્ય નાણાં પંચે સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ જિલ્લાની પ્રોફાઈલ અને નગરપાલિકાઓ વિશે માહિતી આપી હતી. અધ્યક્ષ યમલ વ્યાસે જણાવ્યું હતું કે, સંવિધાનની કલમ 243 હેઠળ નાણાપંચની રચના કરવામાં આવી છે. બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં થતા નાણાપંચના ખર્ચ અને આવક અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાઓનું ખર્ચ ઘટાડવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ અપાયું હતું. આવકના સ્ત્રોત વધારી તેમજ ખર્ચ ઘટાડીને નગરપાલિકાઓને કેવી રીતે આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાણાપંચના સભ્યોએ જિલ્લાની છ નગરપાલિકાના ચીફ ઓફિસરો, પ્રમુખો તેમજ સભ્યો સાથે પણ ચર્ચા કરી તેમના અભિપ્રાયો લીધા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, નાણાપંચના સભ્ય સચિવ બી.પી. ચૌહાણ, સભ્ય જે.ડી. પટેલ, સુનિલભાઈ સોલંકી, અભયસિંહ ચૌહાણ, બીપીન જાદવ સહિત જિલ્લાની નગરપાલિકાના તમામ પ્રમુખો અને નગરપાલિકા ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:55 pm

Editor's View: પૈસા માટે ટ્રમ્પનો મોટો દાવ:F-35થી ક્રાઉન પ્રિન્સને ક્લિનચીટ સુધી, અમેરિકા સાઉદી પર ઓળઘોળ, જાણો બિઝનેસ ડિપ્લોમસીની પડદા પાછળની હકિકત

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અમેરિકા પહોંચ્યા છે. વ્હાઈટ હાઉસે રેડ કાર્પેટ સ્વાગત કર્યું છે. સાઉદીના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પછી અમેરિકા-સાઉદી અરબ વચ્ચે સંબંધો વણસ્યા હતા પણ હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ઘીના ઠામમાં ઘી પડવાનું કારણ માત્ર એક જ છે કે અમેરિકાને પોતાની ઈકોનોમીમાં પૈસા જોઈએ છે જે સાઉદી આપવા તૈયાર છે. તેની સામે સાઉદીએ પણ કેટલીક ડિમાન્ડ મૂકી છે. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચેની ડિપ્લોમસીની આજે વાત... નમસ્કાર, ટ્રમ્પને દિવસે તડકામાં ને રાત્રે સપનામાં પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. એ બિઝનેસમેન તો છે જ પણ છેલ્લા 40 દિવસથી હાલક ડોલક થયેલી અમેરિકાની ઈકોનોમીને સ્થિર કરવા માટે કોથળા મોઢે રૂપિયાની જરૂર છે. આ તોતિંગ રકમ સાઉદી અરબ આપવા તૈયાર છે. ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વ્હાઈટ હાઉસમાં લંચ અને ડિનર માટે આમંત્રણ આપ્યું. મોહમ્મદ બિન સલમાન મંગળવારે વ્હાઈટ હાઉસ પહોંચ્યા ને બંને દેશો વચ્ચે કેટલીક ડિલ થઈ. પહેલા અમેરિકા અને સાઉદી અરબના સંબંધોને સમજી લો... સાઉદી અરબમાં 1938માં જ્યારે તેલનો ભંડાર મળ્યો ત્યારે ત્યાંનો શાહી પરિવાર એટલો તાકાતવાન બની ગયો કે દુનિયાની અર્થ વ્યવસ્થાને આંગળીએ નચાવી શકતો હતો. આ જ કારણ છે કે અમેરિકા અને યુરોપના દેશોએ સાઉદીની દરેક જીદ્દને સહન કરી. મિડલ ઈસ્ટનો ઈતિહાસ બદલવામાં ટ્રમ્પ સફળ થશે? સવાલ એ છે કે શું મીડલ ઈસ્ટનો ઈતિહાસ બદલવાનો છે? 2018માં જે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા. આજે એ જ પ્રિન્સ માટે વ્હાઈટ હાઉસમાં રેડ કાર્પેટ સ્વાગત થઈ રહ્યું છે. તેનું કારણ છે સૌથી મોટી ડિલ. અમેરિકા સાઉદીને એ હથિયાર આપવા જઈ રહ્યું છે જે તેણે ઈઝરાયલ સિવાય કોઈને નથી આપ્યા. એ છે અત્યાધુનિક F-35 ફાઈટર જેટ્સ. આ ડિલની કિંમત પૈસાથી નહિ, પોલિટિક્સથી ચૂકવવાની છે. તે રીતે કે અમેરિકા ઈચ્છે છે કે સાઉદી અરેબિયા ઈઝરાયલ સાથે દોસ્તીનો હાથ લંબાવે. શું ટ્રમ્પ સાઉદી અરબ અને ઈઝરાયલની મિત્રતા કરાવી શકશે કે પછી આ દાવ ખોટો પડશે? મંગળવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન એટલે MBS અમેરિકા પહોંચ્યા છે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે 2018માં પત્રકાર જમાલ ખશોગીની હત્યા પછી MBSની આ પહેલી અમેરિકી મુલાકાત છે. ખશોગીની હત્યા થઈ ત્યારે આખી દુનિયામાં ચર્ચા જાગી હતી અને અમેરિકાના વ્હાઈટ હાઉસે પણ ક્રાઉન પ્રિન્સ સામે આંગળી ચિંધી હતી. જિઓ પોલિટિક્સમાં કાયમી દુશ્મન નહિ, હેતુઓ તો હોય જ છે કહેવાય છે ને કે જિયો પોલિટિક્સમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતા, કાયમી હેતુઓ હોય છે. ક્રાઉન પ્રિન્સ સાથે શાહી અંદાજમાં લંચ પણ થશે ને ડિનર પણ થશે. સાઉદી અરબે અમેરિકા પાસેથી 48 F-35 જેટ્સ માગ્યા છે. ટ્રમ્પે પણ કહ્યું કે ચોક્કસ. અમે વેંચીશું. અત્યાર સુધી મીડલ ઈસ્ટમાં આ અત્યાધુનિક સ્ટીલ્થ ફાયટર જેટ્સ માત્ર ઈઝરાયલ પાસે હતાં. અમેરિકા ગાઢ સંબંધોના કારણે ઈઝરાયલને દરેક પ્રકારે મદદ કરતું રહ્યું છે. અમેરિકાની પોલિસી ઈઝરાયલની મિલિટરીને પાવરફૂલ બનાવી રાખવાની રહી છે. પણ હવે ટ્રમ્પ આ પોલિસીને શિફ્ટ કરી રહ્યા છે. હવે જો સાઉદી અરબને F-35 જેટ્સ મળી જશે તો આખા મીડલ ઈસ્ટનું મિલિટરી બેલેન્સ બદલાઈ જશે. સાઉદી અરબ માત્ર પ્લેન નથી માગી રહ્યું, તે સિક્યોરિટીની ગેરંટી માગી રહ્યું છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી અને સિવિલિયન ન્યૂક્લિયર પ્રોગ્રામમાં મદદ. સાઉદી પર અમેરિકા ઓળઘોળ કેમ છે? આ રહ્યા બે કારણો 1. પૈસા : ટ્રમ્પને 600 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ યાદ છે જેનું સાઉદીએ વચન આપ્યું હતું. ટ્રમ્પ ઈચ્છે છે કે આ પૈસા અમેરિકામાં આવે. 2. ચીન : ટ્રમ્પ સાઉદી અરબને ચીન તરફ જતું રોકવા માગે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે તે ડિફેન્સ, ફાયનાન્સ અને એનર્જી માટે અમેરિકા પર નિર્ભર રહે. ચીન પર નહિ. ટ્રમ્પ શું ઈચ્છે છે? ટ્રમ્પ સાઉદી અરબની નજીક જઈ રહ્યા છે. તેમાં નક્કી કોઈ સ્વાર્થ હશે જ. કારણ કે ટ્રમ્પ બિઝનેસમેન છે. તે ડિલ વગર એક પગલું ય ભરતા નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે સાઉદી અરબ ઈઝરાયલ સાથે દોસ્તી કરી લે. ટ્રમ્પ એવું પણ ઈચ્છે છે કે તે અબ્રાહમ એકોર્ડ્સમાં સામેલ થઈ જાય. 2020માં ટ્રમ્પે જ UAE, બહેરીન અને મોરક્કોની ઈઝરાયલ સાથે દોસ્તી કરાવી હતી. હાલમાં કઝાકિસ્તાન પણ આમાં સામેલ થયું છે. ટ્રમ્પ એવું માને છે કે જો સાઉદી અરબ ઈઝરાયલ સાથે દોસ્તી કરી લે તો મીડલ ઈસ્ટમાં શાંતિની ગેરંટી મળી જશે. પણ પેચ ગાઝામાં ફસાયો છે. સાઉદી અરબ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશ નહિ બને ત્યાં સુધી ઈઝરાયલ સાથે મિત્રતા શક્ય નથી. ટૂંકમાં ટ્રમ્પને અમેરિકાની ઈકોનોમી માટે પૈસા જોઈએ છે અને ચીનને રોકવા માટે સાઉદીનો સાથ. ટ્રમ્પ-MBSની મિટિંગના 8 મોટા નિર્ણયો.. અબ્રાહમ એકોર્ડ શું છે? 2020માં ઇઝરાયલ અને કેટલાક અરબ દેશોએ અબ્રાહમ એકોર્ડ હેઠળ સત્તાવાર રીતે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કર્યા. એકોર્ડ એટલે એક પ્રકારની સમજૂતી. આ એકોર્ડનું નામ અબ્રાહમ પરથી રાખવામાં આવ્યું, જે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના એક પયગંબર હતા. આ સમજૂતી સાથે જોડાયેલા દેશોમાં યુએઈ, બહેરીન અને મોરોક્કોએ ઇઝરાયલમાં દૂતાવાસ ખોલવા, વેપાર વધારવા અને લશ્કરી અને ટેકનોલોજી ભાગીદારી વધારવા સંમત થયા હતા. આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી કરવામાં આવ્યો હતો. અબ્રાહમ એકોર્ડ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા. પત્રકારના સવાલ પર ટ્રમ્પ ભડકી ઉઠ્યા... વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અમેરિકાની જ પત્રકાર પર ભડકી ગયા. તેનું કારણ હતું, તીખા તમતમતા બે સવાલ. વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સની સંયુક્ત પત્રકાર પરિષદ હતી. જેમાં અમેરિકાની ABC ન્યૂઝની મહિલા પત્રકાર મેરી બ્રૂસે ટ્રમ્પને પૂછ્યું કે તમે રાષ્ટ્રપતિ છો. છતાં તમારો પરિવાર સાઉદી અરબમાં વ્યાપાર કરે છે. આ કેટલું ઉચિત છે? મેરી બ્રૂસે બીજો સવાલ મોહમ્મદ બીન સલમાનને કર્યો. તેમણે પૂછ્યું કે, અમેરિકી ઈન્ટલિજન્સ એજન્સીનો આરોપ છે કે તમે એક અમેરિકી પત્રકારની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અમેરિકાની જનતા તમારા પર કેવી રીતે ભરોસો કરશે? આ સવાલ આવતાં જ ટ્રમ્પનો ચહેરો લાલચોળ થઈ ગયો. ટ્રમ્પે મહિલા પત્રકારને પૂછ્યું કે તું ક્યા મીડિયા માટે કામ કરે છે? મહિલા પત્રકારે કહ્યું કે ABC મીડિયા. ત્યારે ટ્રમ્પ બોલ્યા, મને લાગે છે કે તમે બેકાર, બકવાસ રિપોર્ટર છો. તમારી ABC કંપનીનું લાયસન્સ છીનવી લેવું જોઈએ. કારણ કે તમે ફેક ન્યૂઝ ચલાવો છો. પછી ટ્રમ્પે કહ્યું કે ખાશોગી દૂધે ધોયેલો નહોતો. તેની હત્યાની જાણકારી તો પ્રિન્સ સલમાનને હતી પણ નહિ. આ વાત અહિ પૂરી થાય છે... પછી બ્રૂસે એપસ્ટીન વિશે સવાલ કર્યો તો ટ્રમ્પ ફરી ભડકી ગયા. તેણે કહ્યું કે તમે સવાલ પૂછો છો, તેની સામે મને વાંધો નથી પણ તમારું વર્તન ખરાબ છે. માટે તમે હવે કોઈ સવાલ પૂછતા નહિ. 8 દાયકાની 3 ઘટનાએ સાઉદી- અમેરિકાના સંબંધો વણસ્યા 80 વર્ષના ઈતિહાસમાં એવી ત્રણ ઘટના બની છે જ્યારે સાઉદી અરબ અને અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી હોય... હવે જાણી લો, પત્રકાર ખાશોગીની હત્યાનો કેસ શું હતો? એક સમયે સાઉદીના પત્રકાર જમાલ ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા. પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તે 2017માં અમેરિકા જઈને નિર્વાસનમાં રહેવા લાગ્યા. અમેરિકાથી જ તેઓ વોશિંગટન પોસ્ટમાં એક કોલમ લખતા હતા જેમાં તે સાઉદી ક્રાઉન પ્રિન્સની નીતિઓની ટીકા કરતા હતા. પોતાની પહેલી કોલમમાં ખાશોગીએ લખ્યું હતું કે તેમને એ વાતનો ડર હતો કે પ્રિન્સની ટીકા કરવાના કારણે તેમની ધરપકડ કરી શકાય છે. પછી થયું એવું કે 59 વર્ષના સાઉદી પત્રકાર ખાશોગી ઓક્ટોબર 2018માં ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ગયા હતા. જ્યાં તેમને પોતાના વ્યક્તિગત ડોક્યુમેન્ટ લેવાના હતા. તે ડોક્યુમેન્ટના આધારે તે પોતાની તુર્કીની ફિયાન્સે હતીત જેંગ્ગિઝ સાથે લગ્ન કરી શકે. કથિત રીતે એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સના ભાઈ પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તુર્કીમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં જવું ખૂબ જ સુરક્ષિત હશે. પ્રિન્સ ખાલિદ એ સમયે અમેરિકામાં સાઉદી અરબના રાજદૂત હતા. પછી ત્યાં જે થયું તે, ખાશોગી દૂતાવાસમાંથી ગાયબ થઈ ગયા. તેમની હત્યા કરાઈ હોવાના સમાચાર આવવા લાગ્યા. સાઉદી અરબના વકીલોએ ત્યારે કહ્યું હતું કે શરૂઆતના સંઘર્ષ પછી ખાશોગીને મોટા પ્રમાણમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને ડ્રગ ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ પછી તેમના મૃત શરીરના ટુકડા ટુકડા કરી બેગમાં પેક કરીને સાઉદી દૂતાવાસની બહાર કોન્ટ્રાક્ટરોને બેગ આપવામાં આવી જે ક્યાંક રણમાં દફન કરવામાં આવી હોઈ શકે. જોકે ખાશોગીનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી.આ હત્યા પછી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર આરોપો લગાવ્યા હતા કે તેણે જ પત્રકાર ખાશોગીની હત્યા કરાવી છે. છેલ્લે, અમેરિકાના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. મે-2025માં ઓપરેશન સિંદૂર પછી ચીને નકલી માહિતી ફેલાવવાનું ષડયંત્ર ચલાવ્યું. ફેક એકાઉન્ટ્સ અને AIનો ઉપયોગ કરીને એવી તસવીરો રિલિઝ કરી કે જેમાં રાફેલને તૂટેલું બતાવાયું. જેથી તે પોતાનું J-35 વેચી શકે. ચીનનો આ ખોટી માહિતી ફેલાવવાનો હુમલો ગ્રે ઝોન એટેક સાબિત થયો. હવે વિચારો, AIનો આવો દુરૂપયોગ ભવિષ્યમાં યુદ્ધ કરાવી પણ શકે છે. આપણે બધાએ ચેતવાની જરૂર છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:55 pm

SMCએ સળિયા ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી:32 લાખથી વધુ લોખંડના સળિયા સહતિ 77 લાખના મુદ્દામાલ સાથે 10 ઝડપ્યા, 5 વોન્ટેડ

કડી તાલુકાના રાખડીયા ગામ નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ચોરી કરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી આ ટોળકી પાસેથી લાખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા મુદ્દામાલમાં સ્થળ પરથી 28,680 કિલો અને ટ્રકમાંથી 45,340 કિલો મળી કુલ મોટી માત્રામાં લોખંડના સળિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેંગ પાસેથી 1,160 લીટર ઓઇલ, 4.45 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન અને 5 અલગ અલગ વાહનો પણ મળી આવ્યા છે. પોલીસે ચોરીના મોટા મુદ્દામાલ સાથે 10 ચોરોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ચોરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓ ફરાર છે. કબ્જે કરાયેલા ચોરીના મુદ્દામાલની કુલ કિંમત 77,13,628 આંકવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. SMCમે સળિયા ચોરી કરતી ગેંગ પર દરોડો પાડ્યોમહેસાણા જિલ્લામાં તારીખ 18 અને 19 નવેમ્બરના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક મોટી સળિયા ચોરી કરતી ગેંગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. કડી તાલુકાના રાખડીયા ગામ નજીક બાપાસીતારામ હોટેલના ગ્રાઉન્ડમાં પાડવામાં આવેલા આ દરોડામાં કુલ 77,13,628ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 38 લાખથી વધુના વાહનો સાથે આરોપીઓ ઝડપાયાપોલીસ જણાવ્યા અનુસાર સ્થળ પરથી આશરે 28,680 કિલોગ્રામ ચોરીના લોખંડના સળિયા (કિંમત 15,20,040) અને ટ્રકમાં ભરેલા 45,340 કિલોગ્રામ સળિયા (કિંમત 17,84,988) જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1160 લિટર ચોરીનું ઓઇલ (કિંમત 34,800), રોકડા 4,45,000, 10 મોબાઇલ ફોન કિંમત 91,000) અને 5 વાહનો (કિંમત 38,35,000) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના માલિક/ડ્રાઇવર સહિત 5 વ્યક્તિઓ વોન્ટેડ જાહેરદરોડા દરમિયાન 10 આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં કડીનો મુખ્ય આરોપી ગિરીશભાઈ માફતભાઈ પરમાર, મેનેજર કૈલાશ સિંહ હેમ સિંહ રાવત (રાજસ્થાન), અને ડ્રાઇવર, ક્લીનર સહિત અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને વધુ તપાસ માટે બાવલુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. એસ.એમ.સી.ના PSI વી.એન. જાડેજાના નેતૃત્વમાં થયેલા આ ઓપરેશનમાં રોડ ચોરીના ભાગીદારો, સ્થળના માલિક અને ટ્રકના માલિક/ડ્રાઇવર સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપી ઝડપાયા વોન્ટેડ આરોપી

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:52 pm

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બજેટની તૈયારીઓ શરૂ:વર્ષ 2026-27ના બજેટ માટે શહેરીજનો પાસે પાણી, રોડ-રસ્તા સુધારા અંગે સૂચનો માંગવામાં આવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિકાસમાં નાગરિકોની સીધી ભાગીદારી નિશ્ચિત કરવાના હેતુથી મહાનગરપાલિકાએ આ બજેટમાં સમાવેશ કરવા માટે ગાંધીનગરના શહેરીજનો પાસેથી સૂચનો અને મંતવ્યો મંગાવ્યા છે. પાણી, રોડ-રસ્તા સુધારા અંગે સૂચનો માંગવામાં આવ્યામહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, શહેરીજનો પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસ માટેના સૂચનો મોકલી શકે છે. નાગરિકો ખાસ કરીને પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ-રસ્તા અને ફૂટપાથની ગુણવત્તા, અને સ્ટ્રીટ લાઇટિંગની સુવિધાઓમાં સુધારો કરવા અંગે સૂચનો મોકલી શકશે. દવાખાનાઓ તેમજ શૈક્ષણિક સુધારા અંગે સૂચનો માગ્યાઆ ઉપરાંત કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, શહેરમાં બાગ-બગીચાઓનો વિકાસ, વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવો અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ અને દવાખાનાઓમાં માળખાગત તેમજ શૈક્ષણિક સુધારા, જાહેર પરિવહન સેવાઓ (બસ)માં વધારો, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપનને સુદૃઢ બનાવવું. ગરીબો અને વંચિતો માટેની નવી યોજનાઓ, મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટેના કાર્યક્રમો અંગે પણ પોતાના સૂચનો જણાવી શકે છે. આ સિવાય ઈ-ગવર્નન્સ, વિવિધ ઓનલાઈન સેવાઓનો વિસ્તાર કરવો અને સ્માર્ટ સિટી પહેલને વધુ સક્રિય બનાવા અંગે પણ સૂચનો કરી શકે છે. સૂચનો 7 દિવસ સુધીમાં ઈ-મેઈલ મોકલવાના રહેશેમહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેમના તમામ સૂચનો 7 દિવસ સુધીમાં ઈ-મેઈલ દ્વારા મોકલી આપવાના રહેશે. શહેરીજનો પોતાના મંતવ્યો ન ઈ-મેઈલ આઈ.ડી. gmcbudgetdata@gmail.com ઉપર મોકલી શકશે. મહાનગરપાલિકાનો આ નિર્ણય નાગરિકોની જરૂરિયાત મુજબના વિકાસ કાર્યોને અગ્રતા આપવાનો સંકેત આપે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:50 pm

ડાંગ યુનિટી માર્ચમાં સાંસદ ધવલ પટેલે રાજાનું સન્માન કર્યું:સ્ટેજ પરથી નીચે ઉતરી રાજાનું અભિવાદન કર્યું, લીલી ઝંડી ફરકાવી માર્ચ શરૂ કરાવી

ડાંગ જિલ્લામાં સરદાર@150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલ પટેલે ડાંગના રાજા, વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીનું સન્માન કર્યું. સાંસદ પટેલે સ્ટેજ પરથી નીચે ઉતરી રાજાનું અભિવાદન કર્યું અને તેમના હસ્તે લીલી ઝંડી ફરકાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજા ધનરાજસિંહ સૂર્યવંશી સામાન્ય જનસમૂહ વચ્ચે ઉભા રહીને કાર્યક્રમ નિહાળી રહ્યા હતા. સ્ટેજ પરથી કાર્યક્રમનું સંચાલન કરી રહેલા સાંસદ ધવલ પટેલની નજર રાજા પર પડતાં તેમણે તરત જ સ્ટેજ પરથી નીચે ઉતરવાનો નિર્ણય લીધો. સાંસદ ધવલ પટેલે રાજવી પરંપરાનું માન જાળવી રાજા પાસે જઈ સન્માનપૂર્વક અભિવાદન કર્યું. આ ક્ષણ યાત્રામાં જોડાયેલા નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંસદના આ વિનમ્ર વર્તાવની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે, જે પરંપરા અને ઐતિહાસિક મૂલ્યો પ્રત્યેના તેમના આદરને દર્શાવે છે. આ પ્રસંગે વાસુર્ણા રાજવી સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ડાંગ જિલ્લાની પરંપરા અને રાજવી સંસ્કૃતિ માટે આદર દર્શાવતા આવા નેતાઓ સમાજને જોડવાનું અને સૌહાર્દ વધારવાનું કાર્ય કરે છે. યુનિટી માર્ચનો આ પ્રસંગ લોકશાહી વ્યવસ્થાના પ્રતિનિધિ અને રાજવી પરંપરાના વારસદાર વચ્ચેના પારસ્પરિક સન્માનનું પ્રતીક બન્યો. તે લોકશાહી અને પરંપરાના સંગમનું સુંદર પ્રતિબિંબ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:47 pm

હિંમતનગરમાં આવતીકાલે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટાવર ચોકથી પ્રસ્થાન, મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે. આ યુનિટી માર્ચ ગુરુવારે સવારે હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ થઈ સાબરડેરી સુધી જશે. આ પદયાત્રામાં ધારાસભ્યો, સાંસદ, શહેરીજનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે. વહીવટી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા દ્વારા પદયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ટાવર ચોકમાં મંચ બનાવવા સહિતની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. પદયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને એસોસિએશનો દ્વારા સ્વાગત કરવામાં આવશે, તેમજ અલગ-અલગ સ્થળોએ મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. નગરજનોને આ એકતા પદયાત્રામાં જોડાવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:44 pm

મોરબી નજીક ટ્રક-બાઈક અકસ્માતમાં બે યુવાનના મોત:ટ્રકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લીધી, એક ગંભીર ઇજાગ્રસ્ત

મોરબી-માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મૃતકોની ઓળખ મૂળ મધ્યપ્રદેશના અમિતભાઈ રમેશભાઈ વિશ્વકર્મા (ઉં.વ. 22) અને શિવરામભાઈ ભેરુસિંહ ભાભર (ઉં.વ. 22) તરીકે થઈ છે. તેઓ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા હતા અને અન્ય એક વ્યક્તિ સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રીજા યુવાનને પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એ.બી. મિશ્રા અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:40 pm

દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા વિપુલ ચૌધરીની હાઈકોર્ટમાં અરજી:પશુ આહાર કૌભાંડમાં મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી, હવે 3 ડિસે.ના સુનાવણી; ચૂંટણી લડવાની શકયતા લગભગ નહીવત

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા માટે વિપુલ ચૌધરીને થયેલી સજા પર સ્ટે મુકવાની અરજી મહેસાણા કોર્ટે ફગાવી દેતાં તેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અરજીની સુનાવણીમાં વિપુલ ચૌધરી તરફથી આગામી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 24 નવેમ્બર હોવાથી કેસની તાકીદે સુનાવણી કરવાની વિનંતી હાઇકોર્ટને કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજન્ટ સુનાવણીની દલીલ ગ્રાહ્ય ન રાખીબીજી તરફ રાજ્ય સરકારે કેટલાક દસ્તાવેજો એકત્ર કરી રેકર્ડ પર મૂકવાના હોવાથી સમય માંગ્યો હતો. જેના પગલે હાઇકોર્ટે શુક્રવારે અરજન્ટ સુનાવણીની દલીલ ગ્રાહ્ય રાખી નહોતી. આ તબક્કે ચૌધરી તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટે કોર્ટને કહ્યું હતું કે 25મી નવેમ્બરે ફોર્મની સ્ક્રુટીની થઇ ગયા બાદ આ મામલે કોઇ અરજન્સી રહેશે જ નહીં, તેથી કોર્ટ યોગ્ય તારીખ આપે. અંતે આ મામલે 3 ડિસેમ્બરના રોજ સુનાવણી મુકરર કરવામાં આવી છે. પશુ આહાર કૌભાંડમાં મહેસાણા કોર્ટે 7 વર્ષની સજા ફટકારીમહેસાણા સેશન્સ કોર્ટે પશુ આહાર કૌભાંડમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સજા પર રોક લગાવવાની અરજી નવેમ્બર મહિનાની શરૂઆતમાં ફગાવી દીધી હતી. તેમણે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આગામી ચૂંટણી લડવા માટે યોગ્યતા પુરવાર કરવા માટે સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જુલાઈ 2023 માં મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ચૌધરી અને અન્ય 14 લોકોને ડેરીને નાણાકીય નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. 22 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપમોટા પાયે ગેરરીતિઓ અને ગેરવહીવટના આરોપો બાદ વર્ષ 2014 માં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં ડેરીના તત્કાલીન મેનેજમેન્ટ પર સહકારીને રૂ. 22 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. દોષિત ઠેરવ્યા બાદ વિપુલ ચૌધરી અને અન્ય લોકોએ મહેસાણાના અધિક જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અપીલ કરી હતી. જેમણે અપીલ સુધી તેમની સજાના અમલ પર રોક લગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી ફગાવતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા જોકે, દોષિત ઠેરવવામાં આવેલી સજા પર જ રોક લગાવવામાં આવી ન હોવાથી વિપુલ ચૌધરી બે વર્ષથી વધુ જેલની સજા પામેલી વ્યક્તિ હોવાથી કોઈપણ સહકારી ચૂંટણી લડવા માટે ગેરલાયક રહે છે. તેથી તેમણે દૂધસાગર ડેરી બોર્ડની ચૂંટણી પહેલા સેશન્સ કોર્ટમાં અરજી કરી તેમની સજા પર સ્ટે માંગવામાં આવ્યો હતો. જેથી તેમની યોગ્યતા પુનઃસ્થાપિત થઈ કરી શકાય. જોકે, આ અરજી રદ કરી દેવાતા હવે તેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:39 pm

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત

Pakistan On Pahalgam And Delhi Terror Attack : ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં આતંકવાદ અને આતંકી અડ્ડાઓ ધમધમતા હોવાનું જગ જાણીતું છે, ત્યારે ભારત થતા હુમલા અને ફેલાતા આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો પાકિસ્તાની નેતાએ ખુલાસો કર્યો છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો હુમલો થયો હતો, ત્યારબાદ 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં પણ અવારનવાર ઘૂસણખોરીની અને આતંકી હુમલાઓની ઘટના બનતી રહે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતમાં થઈ રહેલા હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ભૂમિકા હોવાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે દાવો કર્યો છે. પાકિસ્તાને બદલો લેવા માટે ભારતમાં હુમલા કરાવ્યા

ગુજરાત સમાચાર 19 Nov 2025 7:32 pm

હિંમતનગરમાં સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ:શસ્ત્ર સેના ધ્વજદિનના દાતાઓનું સન્માન કરાયું

હિંમતનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર લલિત નારાયણસિંહ સાંદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનોના પુનર્વસવાટ અને કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણનો હતો. આ બેઠકમાં શસ્ત્ર સેના ધ્વજદિન 2024-25 દરમિયાન ફાળો આપનાર 30 દાનવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની 15 સરકારી કચેરીઓ, 4 અર્ધ સરકારી કચેરીઓ, 8 શાળાઓ, 1 બેંક ગ્રુપ, 1 ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને 1 વ્યક્તિગત દાતાનો સમાવેશ થાય છે. કલેકટરના હસ્તે તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કલેકટરે વર્ષ 2024-25 દરમિયાન સરકાર દ્વારા મળેલ લક્ષ્યાંક મુજબ ફાળો એકત્રિત કરવામાં યોગદાન આપવા બદલ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચાલુ વર્ષ 2025-26 દરમિયાન પણ સાબરકાંઠા જિલ્લાને સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંકથી વધુ ભંડોળ જમા કરાવી સૈનિકો પ્રત્યે સન્માન અને તેમના પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરવા સૌને અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ, વર્ષ 2024-25 દરમિયાન કુલ 64 લાભાર્થીઓને રૂ. 21,93,050 ની સહાય ચૂકવવામાં આવી છે. આ લાભાર્થીઓમાં પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ અને આશ્રિતોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધિકારી, અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ સંસ્થાના અને વ્યક્તિગત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:28 pm

હિંમતનગરમાં બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજન

હિંમતનગરના ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ મેળાને ખુલ્લો મુકાયો હતો. આ આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત કરાયું છે. આ મેળાનો મુખ્ય હેતુ 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ-ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શન માટે આ મેળાનું આયોજન કરાયું છે. વિવિધ તાલુકાના કુલ 15 સ્વસહાય જૂથોએ તેમના ઉત્પાદનોના સ્ટોલ લગાવ્યા છે. આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, નગરપાલિકાના સદસ્યો તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:19 pm

કાલથી સુરતના રસ્તાઓ પર દોડશે ગુજરાતની પહેલી પિંક બસ:ONGCથી સરથાણા સુધીના રૂટ પર દોડશે, મહિલા ડ્રાઈવર અને મહિલા જ મુસાફરો; 20 મહિના બાદ મળી પહેલી બસ ડ્રાઈવર

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદેશ્યથી થોડા સમય પૂર્વે જ પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. બીજી તરફ શહેરમાં દોડતી બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતાં હવે આવતીકાલે ગુજરાતની પહેલી સુરતમાં માત્ર મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ચાલક પણ મહિલા જ હશે. મહિલાઓ-યુવતીઓ માટે મહાનગરપાલિકાનો નવતર પ્રયોગશહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પ્રદુષણ અટકાવવા માટે શહેરનાં તમામ બીઆરટીએસ રૂટ પર ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ-યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પૂર્વે પાલિકાનાં તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલથી શહેરના રસ્તાઓ પર દોડશે પિંક બસ20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતાં આવતીકાલથી શહેરની પહેલી પિંક બસ શહેરનાં રસ્તાઓ પર દોડતી નજરે પડશે. જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કન્ડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે. જેનું આવતીકાલે લોન્ચિંગ કરવામાં આવશે. 20 મહિનાની શોધખોળ બાદ મળી મહિલા બસ ચાલકસુરતમાં એક વર્ષ અગાઉ મહાનગર પાલિકા દ્વારા મહિલા સશક્તિકરણનાં ભાગ રૂપે પિંક ઓટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં 47 મહિલાઓને રોજગાર મળી રહે તે ઉદેશ્ય સાથે પિંક ઓટો શહેરનાં રસ્તાઓ પર દોડતી થઈ હતી. જો કે, બસમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્ર 20 મહિના સુધી લાંબો ઈંતજાર કરવો પડ્યો હતો. 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઈન્દૌરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્દોર બાદ હવે સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને મળ્યોઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઇવર બની છે. નિશા શર્માએ જણાવ્યું હતું કે, મને પહેલો મોકો મહિલાઓ માટે બસ ચલાવવાનો મોકો ઇન્દોરમાં મળ્યો હતો. એક મહિનાની ટ્રેનિંગ બાદ મેં બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે ગુજરાત અને સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:11 pm

'દેશદ્રોહીઓ પર આક્રોશ હોવાથી આતંકી પર હુમલો કર્યો':પ્રાથમિક તપાસમાં ખુલાસો: હર્ષ સંઘવી, સાઇનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહેલા ડો.સૈયદને સાબરમતીમાં અન્ય કેદીઓએ માર્યો હતો

ગુજરાત એટીએસે 9 નવેમ્બરે પકડેલા આતંકવાદી ડોકટર અહેમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જીવાની સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ હુમલો કરાયો હતો. 10 દિવસના રિમાન્ડ પુરા થતા અહેમદ મોહુદ્દીનને સોમવારે સાંજે જ નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો. જ્યાં મંગળવારે સવારે 7 વાગ્યે તે સૂઈ રહ્યો હતો ત્યારે જ અન્ય 3 આરોપીઓએ તેને ફેંટોનો માર માર્યો હતો. જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. આ મામલે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આતંકવાદી પર અમુક લોકો દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એના ચશ્મા નીચે પડી જવાને કારણે એને થોડી ઇજા થઈ હતી.આ મામલે તપાસ ચાલી રહી છે. આ તપાસમાં વધુ વિગતો બહાર આવશે. આતંકીને હાઇ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો હતોઆતંકવાદી સંગઠન ISKP(ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ) સાથે સંકળાયેલા અહેમદ મોહિયુદ્દીન સૈયદ(35)(હૈદરાબાદ)ની એટીએસે તા.9 નવેમ્બરે અડાલજ પાસેથી ધરપકડ કરી હતી. જ્યારે અહેમદ સાથે સંકળાયેલા અન્ય 2 આતંકવાદી આઝાદ શેખ(20) અને મોહંમદ સુહેલ ખાન(23) ને એટીએસની ટીમે બનાસકાંઠાથી ઝડપી લીધા હતા. અહેમદ સૈયદ પાસેથી રાઈઝીન નામનું ઝેર બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ 4 લીટર કેસ્ટલ ઓઈલ મળી આવ્યુ હતુ. જ્યારે આઝાદ અને મોહંમદ સુહેલ પાસેથી 3 પિસ્ટલ અને 30 કારતૂસ મળ્યા હતા. ડો.અહેમદ સૈયદના 10 દિવસના રિમાન્ડ પૂરાં થતાં તેને સોમવારે સાંજે નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરીટી બેરેકમાં રખાયો હતો. મંગળવારે સવારે તે સૂતો હતો ત્યારે એક દાઢી વાળો માણસ તેમજ તેની સાથે આવેલા અન્ય 2 માણસ ડો.અહેમદ સૈયદ ઉપર તૂટી પડયા હતા. આતંકી અહેમદ સૈયદે ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવીઆ સમગ્ર મામલે અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની (જાતે સૈયદ) (ઉં.વ. 40, રહે. સાબરમતી મધ્યસ્થ જેલ, રાણીપ, અમદાવાદ મૂળ વતન રાજેન્દ્રનગર ઉઝરપલ્લી ફોર્ટ કોલોની, હૈદરાબાદ, તેલંગાણા)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે 18 નવેમ્બર 2025ની સવારે 7 વાગ્યા આસપાસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક દાઢીવાળો શ્યામ શખસ તથા તેની સાથેના બે શખસે ફરિયાદી અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની સૈયદને કોઈ કારણસર ફેટોથી માર માર્યો, જેમાં તેને આંખના ભાગે વાગતાં ઈજા થઈ છે, જેથી આ ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે. હાઈ સિક્યોરિટી બેરેકમાં ગંભીર ગુનાના આરોપીઓને રખાય છેસાબરમતી જેલમાં ગંભીર ગુનાના આરોપી ઓને હાઈ સિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવે છે. મર્ડરના ગુના, રાષ્ટ્ર વિરોધી કૃત્યના ગુના, આતંકી હુમલાના ગુના, યુએપીએ એક્ટના આરોપી તેમજ કુખ્યાત ગેંગના આરોપીઓને આ બેરેકમાં રાખવામાં આવે છે. જ્યાં સુધી ટ્રાયલ ચાલતી હતી ત્યાં સુધી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને પણ અહીં રાખવામાં આવ્યા હતા. આંતકી અહેમદ સૈયદે ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવીઆ સમગ્ર મામલે અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની (જાતે સૈયદ) (ઉં.વ. 40, રહે. સાબરમતી મધ્યસ્થ જેલ, રાણીપ, અમદાવાદ મૂળ વતન રાજેન્દ્રનગર ઉઝરપલ્લી ફોર્ટ કોલોની, હૈદરાબાદ, તેલંગાણા)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે 18 નવેમ્બર 2025ની સવારે 7 વાગ્યા આસપાસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક દાઢીવાળો શ્યામ શખસ તથા તેની સાથેના બે શખસે ફરિયાદી અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની સૈયદને કોઈ કારણસર ફેટોથી માર માર્યો, જેમાં તેને આંખના ભાગે વાગતાં ઈજા થઈ છે, જેથી આ ત્રણેય શખસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુમાં છે. 9 નવેમ્બરના ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની 'ઝેરીલી' માનસિકતા ડો.સૈયદ સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતોગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય એ પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકી પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતી કારતૂસ અને 4 લિટર કસ્ટર ઓઈલ કબજે કરાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:08 pm

તંત્રની વિશેષ ઝુંબેશ થકી કામગીરી:વડોદરા શહેરની સોસાયટી વિસ્તારોમાં સાંજના સમયે નોકરિયાત વર્ગ માટે ખાસ કેમ્પો યોજાશે

વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન–2025 અંતર્ગત 28 ઓક્ટોબર, 2025થી સમગ્ર દેશમાં શરૂ કરાયેલ કામગીરીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ તમામ 10 વિધાનસભા વિસ્તારોમાં કામગીરી સક્રિયરૂપે ચાલુ છે. મૂળભૂત તબક્કામાં બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવાઈ છે, જ્યારે કલેક્શન, મેપિંગ તથા મેચિંગ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પણ મોટા પ્રમાણમાં પૂર્ણતાની નજીક છે. અત્યાર સુધી જિલ્લામાં 5 લાખથી વધુ ફોર્મ્સનું સફળતાપૂર્વક ડિજિટાઈઝેશન થઈ ગયું છે. કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા આગામી 4 દિવસ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં લોકોના મેપિંગ અને મેચિંગ સંબંધિત સામાન્ય પ્રશ્નોને ધ્યાને રાખીને શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સરળતા માટે તમામ મટિરિયલ અને લોકો ઉપલબ્ધ કરાવવામાં આવશેમતદારોને પોતાનું નામ, બૂથ, સોસાયટી અને વિસ્તાર સરળતાથી શોધી શકે તે માટે વિવિધ પ્રકારના સર્ચ ઓપ્શન સાથેની પીડીએફ સામગ્રી અને ક્યુઆર કોડ્સ જાહેર જનતા, બીએલઓ તથા વોલન્ટીયર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત્ત. તા.16 અને 17 નવેમ્બરના રોજ યોજાયેલ વિશેષ કેમ્પોમાં મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા થયેલી ભાગીદારીને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને વધુ વિસ્તૃત બનાવવા આવતીકાલે શહેરની અંદર લગભગ બસો જેટલી સોસાયટીઓમાં અને પરમ દિવસે વધારાની બસો જેટલી સોસાયટીઓમાં સાંજના સમયે કેમ્પો યોજાશે. બીએલઓ સાથે સહાયકોને પણ નિયુક્ત કરવામાં આવી રહ્યા છેઆ દરમિયાન લોકો નોકરી અને ધંધા પરથી પરત ફરે ત્યારે તેઓને મેપિંગ, મેચિંગ તથા કલેક્શન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બીએલઓ સાથે મોટી સંખ્યામાં વોલન્ટીયર્સ, શિક્ષક મિત્રો, સરકારી કર્મચારી તથા પ્રાઇવેટ શિક્ષકોની સેવાઓ જોડાશે. આવનારા શનિવાર અને રવિવારે જિલ્લામાં આવેલ દરેક બૂથ પર વિશેષ બૂથ કેમ્પો યોજાશે. શહેરી વિસ્તારો માટે વધારાની વ્યવસ્થા અંતર્ગત બીએલઓ સાથે સહાયકોને પણ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. યુથ વોલન્ટીયર્સ દ્વારા મતદારોને પૂરતી સહાય પૂરી પાડવામાં આવીઆજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં યુથ વોલન્ટીયર્સ દ્વારા મતદારોને સ્થાન શોધવામાં, મેપિંગ–મેચિંગ પ્રક્રિયામાં તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી યુવાનોની ઊર્જાનો ઉપયોગ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. જે નાગરિકોના નામ કે વિગતો વિવિધ સર્ચ ઓપ્શન્સ દ્વારા ઉપલબ્ધ ન થઈ શકે, તેમના માટે ઇન્રુમરેશન ફોર્મમાં દર્શાવેલ યાદી મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. જેમનું મેપિંગ સફળતાપૂર્વક થઈ ગયું તેને દસ્તાવેજની જરુર નથીવર્ષ 1987 પહેલાં જન્મ થયેલો હોય તો એક દસ્તાવેજ, 1987 થી 2004 વચ્ચે જન્મ થયેલો હોય તો બે દસ્તાવેજ અને 2004 પછી જન્મ થયેલા નાગરિકો માટે પોતાનું તથા માતા–પિતાના ત્રણ દસ્તાવેજોની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે. દસ્તાવેજોની અછત હોય એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને વીએમસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ દસ્તાવેજ સહાય કેમ્પો પણ યોજાશે. નોંધનીય છે કે જેમનું મેપિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે, તેમને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેતી નથી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે, તેમ છતાં આગામી શનિવાર–રવિવારના કેમ્પોનો વધુમાં વધુ લાભ લઈ પોતાની વિગતો સમયસર સબમિટ કરે અને બીએલઓ તથા વોલન્ટીયર્સને પૂરતો સહયોગ આપે. જિલ્લાના તમામ તંત્રો અને ટીમો તીવ્ર ગતિએ કામગીરી કરી રહ્યાં છે, જેથી આગામી થોડા દિવસોમાં સમગ્ર કાર્ય મહદંશે પૂર્ણ થઈ શકે એવી અપીલ ડો.ધામેલિયાએ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:08 pm

ફરી એકવાર બાંગ્લાદેશીઓની તપાસ શરૂ:દિલ્હી બ્લાસ્ટ કેસમાં બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવતાં બાંગ્લાદેશ ઘુસણખોરોની તપાસ ચાલુ

થોડા મહિનાઓ પહેલાં જ ગુજરાત પોલીસે અમદાવાદ સહિતના શહેરોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીને તેમને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કવાયત શરૂ કરી હતી. જેમાં સૈંકડો ઘૂસણખોરોને પરત રવાના કરી દેવાયા હતા. તે સમયમાં જ દિલ્હી બ્લાસ્ટ કેસમાં પણ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી રહી છે. જેને પગલે ફરી એક વખત બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ વેગવંતી બનાવવામાં આવી છે. એજન્સી દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનની પણ સંડોવણીઅમદાવાદના ચંડોળા આજુબાજુ પોલીસ અને મહાનગર પાલિકાના મેગા ડિમોલીશન દરમિયાન સ્થાનિક વિસ્તારના લાલા પઠાણ અને તેના દીકરા ફતેહ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપતા હતા. ઘણા ઘૂસણખોરો બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી હતી. દિલ્હીમાં લાલ કિલ્લા આગળ થયેલા બ્લાસ્ટની દેશભરમાં તપાસ ચાલી રહી છે. જુદા-જુદા શહેરોમાંથી ઘણા આતંકવાદી તત્વોને ઝડપી લેવામાં આવી રહ્યા છે. તે દરમિયાન તપાસ એજન્સીઓના ધ્યાને એવી વિગતો આવી છે કે, આ બ્લાસ્ટમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનની પણ સંડોવણી છે. આ બ્લાસ્ટ માટે લોજિસ્ટિક સપોર્ટ ચોક્કસ આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આવ્યો હતો અને બ્લાસ્ટ સમયે બાંગ્લાદેશી આતંકવાદ સંગઠનના કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં શંકાસ્પદ રીતે હાજર હતા. તાજેતરમાં જ સોલા પોલીસે પણ 17 બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓને શોધીઆ ઘટના બાદ હવે એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો અને આતંકવાદી સંગઠનની સંડોવણીની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘુસણખોરો વસવાટ કરી રહ્યા છે. તેથી તેમને શોધી કાઢી તેમના દેશમાં રવાના કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદનું ચંડોળા તો બાંગ્લાદેશી આતંકવાદીઓનું આશ્રયસ્થાન ગણાતું હતું. આ ઉપરાંત સરદારનગર, નારોલ તથા શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઉપસ્થિતિ નજરે પડતી હતી. તાજેતરમાં જ સોલા પોલીસે પણ 17 બાંગ્લાદેશી ઘુસણખોર મહિલાઓને શોધી કાઢી હતી. ક્રાઈમ બ્રાંચે પણ ચંડોળામાં સર્ચ કરીને ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરી ફરીથી બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવાની કવાયત શરૂ થતાં તેમને આશ્રય આપનારા દોડતા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ ચંડોળામાં સર્ચ કરીને ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી.જ્યારે ઘુસણખોરોને આશ્રય આપનારા તેઓને બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ કાઢાવી આપતા હતા. જેના અંગેની તપાસ ચાલુ છે. હાલ ફરીથી બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ ચલાવવામાં આવી રહી છે અને તેમાં કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:03 pm

આવતીકાલે જનરલ બોર્ડની બેઠક:રાજકોટમાં વિપક્ષનાં ફ્લાવર બેડનાં પ્રશ્નથી ચર્ચા શરૂ થશે, ડે.કમિશનરની નિયુક્તિ સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે, જમીન કપાતના વળતર અંગે કરાશે ફેંસલો

રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક સામાન્ય સભા આવતીકાલ, તા. 20મી નવેમ્બર, ગુરુવારના રોજ સવારે 11 કલાકે મળશે. આ બોર્ડ બેઠકમાં વિપક્ષને પ્રથમ પ્રશ્ન પૂછવાનો મોકો મળતાં સત્તાધારી ભાજપ શાસકો અને વહીવટી તંત્રની 'ખબર' લેવાની વિપક્ષની પૂરી તૈયારી છે. મહત્વનું છે કે, RMCમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 સભ્યોનું સંખ્યાબળ છે. છતાં, ગત અઠવાડિયે બોર્ડનો એજન્ડા બહાર પડ્યા બાદ થયેલા ડ્રોમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાના ત્રણ પ્રશ્નો પહેલા ક્રમે આવતાં કોંગ્રેસ પક્ષ ઉત્સાહમાં છે. આ સંજોગોમાં કોંગ્રેસના પ્રશ્નોના જવાબો કમિશનરે આપવાના થશે, અને ચર્ચા જો રાજકીય રંગ પકડે તો ભૂતકાળની જેમ ભાજપના કોર્પોરેટરો પણ ચર્ચામાં જોડાય તો હોબાળો થવાની શક્યતા છે. વિજીલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા માટે સૂચનાચૂંટણી પૂર્વે જે રીતનું રાજકીય વાતાવરણ ગરમાતું હોય છે એવો જ માહોલ આવતીકાલની સભામાં પણ સર્જાય એવી શક્યતા છે. શાસક પક્ષે વિપક્ષ દ્વારા કોઈ મોટી ધમાલ ન થાય તે માટે વિજીલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દીધી છે. કુલ 25 પ્રશ્નોમાં વિપક્ષના 8 પ્રશ્નો બોર્ડ ગજવશે. આ બોર્ડ માટે કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્નો રજૂ કર્યા છે, જેમાં કોંગ્રેસના 8 પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્નો પૂછ્યા છે. સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું? વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પહેલા ક્રમે જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. તેમણે ફ્લાવર બેડવાળા બિલ્ડીંગ પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે વિગતો માંગી છે કે, રાજકોટમાં આર્કિટેક્ચર પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે કમ્પ્લીશન સર્ટિફિકેટ (CC) અટકાવાયા હોય તેવા બિલ્ડીંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા વોર્ડવાઇઝ કેટલી છે, તેમના નામ શું છે અને આવા બાંધકામને નિયમિત (Regularize) કરવાની કાર્યવાહી કરવાના સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું? તેમજ ટાઉન પ્લાનિંગ (TP)માં શું વ્યવસ્થા છે તેની વિગતો માંગી છે. આ ઉપરાંત, તેમણે અન્ય બે પ્રશ્નોમાં શહેરની હદમાં નવા ભળેલા ગામો બાદ નવી હદ અને સાઇન બોર્ડ મૂકવા અંગેની વિગત પૂછી છે. તેમજ છેલ્લા 5 વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર અને કઈ એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવ્યા, મંજૂરીના નિયમો, ડિપોઝીટની રકમ, અને કોર્પોરેશનની તિજોરીને કેટલો ખર્ચ થયો તેની વિગતો પણ માંગી છે. ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો?બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઇના બે પ્રશ્નો 14મા ક્રમે હોવા છતાં, તેના લેખિત જવાબો વિવાદાસ્પદ બને એવી સંભાવના છે. તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે તે મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ગેરકાયદેસર બાંધકામની સંખ્યા, તેની સામે આવેલી અરજીઓ વોર્ડવાઇઝ, 260(1) અને 260(2) મુજબ અપાયેલી નોટિસો વોર્ડવાઇઝ, અને 260(2) પછી કેટલા બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યું તેની વિગત માંગી છે. વધુમાં, ઇમ્પેક્ટ યોજના ચાલુ થઈ ત્યારથી તા. 11-11 સુધીમાં કેટલી અરજીઓ વોર્ડવાઇઝ આવી અને તેમાંથી કેટલી મંજૂર કરી તે અંગેની માહિતી પણ માંગી છે. ગેરકાયદેસર બાંધકામો થયા હોય તેમાં આર્કિટેક્ટની જવાબદારી શું છે અને જો જવાબદારી હોય તો કેટલા આર્કિટેક્ટ ઉપર શું પગલાં લેવામાં આવ્યા તેની તમામ વિગતો પણ પૂછી છે. ચાલુ વર્ષમાં કેટલા રસ્તા બનાવવાના છે તેનું આયોજન પણ માંગ્યું​​​​​​​અન્ય પ્રશ્નકર્તા મકબુલભાઇ દાઉદાણીએ 15મા ક્રમે વોર્ડ નં. 15માં કરાયેલા કામો, આયોજન, સ્માર્ટ સિટીમાં થયેલા કામો અને નવા વિસ્તારોમાં થયેલા કામો અને તેના આયોજન અંગેની વિગત પૂછી છે અને ચાલુ વર્ષ 2025માં વરસાદને કારણે રસ્તામાં કેટલી નુકસાની આવી, ખાડા પૂરવામાં કેટલો ખર્ચ વોર્ડવાઇઝ થયો તેની વિગતો, રાજકોટના 167 ચો. કી.મી.ના વિસ્તારમાં કાચા અને પાક્કા રસ્તા કેટલા છે, કેટલા રોડ રસ્તા બનાવવાના બાકી છે અને ચાલુ વર્ષમાં કેટલા રસ્તા બનાવવાના છે તેનું આયોજન પણ માંગ્યું છે. ભાજપના સભ્યોના પ્રશ્નોમાં પ્રશાસનિક વિગતો પર ભારબીજા ક્રમથી ભાજપના કોર્પોરેટરોના સવાલો શરૂ થાય છે. ભાજપના સભ્યોએ મુખ્યત્વે વહીવટી અને નાગરિક સુવિધા સંબંધિત પ્રશ્નો પૂછ્યા છે. જેમાં ફૂડ શાખાએ ચાલુ વર્ષમાં કેટલી વખત પેકડ પાણીના સેમ્પલ લીધા, સેમ્પલ લેવાના નિયમો, ફૂડ લાયસન્સની પ્રક્રિયા, રાત્રી સફાઇની કામગીરી, અને સ્પીડબ્રેકર અંગેના નિયમો પૂછ્યા છે. વળી, ખુલ્લા પ્લોટ ભાડે આપવાની નીતિ, પ્રવાસીઓની મુલાકાતથી RMCને થતી આવક, આવાસ યોજનાની સ્થિતિ, ડ્રેનેજ લાઇન નેટવર્ક, કોર્પોરેશનમાં રહેલા વાહનોની સંખ્યા, મેલેરીયા શાખાના કામ, ટેક્સની કામગીરી, દબાણ હટાવવાની કામગીરી, નવી ડીઆઇ પાઇપલાઇન, આરોગ્ય કેન્દ્રોની સંખ્યા અને તેના કામ અંગેની માહિતી પણ માંગી છે. આ સભામાં વશરામભાઇ સાગઠિયા, વિનુભાઇ સોરઠિયા, કાળુભાઇ કુંગસીયા, દુર્ગાબા જાડેજા, જયશ્રીબેન ચાવડા, સુરેશભાઇ વસોયા, પરેશભાઇ ડી. પીપળીયા, ડો. રાજેશ્રી ડોડીયા, પ્રીતિબેન દોશી, આશાબેન ઉપાધ્યાય, વિનુભાઇ ઘવા, વર્ષાબેન પાંધી, મીનાબા જાડેજા, કોમલબેન ભારાઇ, અને મકબુલભાઇ દાઉદાણી સહિતના 15 કોર્પોરેટરોએ પ્રશ્નો રજૂ કર્યા છે. ડે. કમિશ્નરની નિયુક્તિ સહિત 12 દરખાસ્તો પર મહોરસામાન્ય સભાના એજન્ડા પર પ્રશ્નોત્તરી ઉપરાંત નામકરણ સહિતના કુલ 12 પ્રસ્તાવ (દરખાસ્ત) રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત નાયબ મ્યુનિ. કમિશનર વર્ગ-1ની નિયુક્તિ અંગેની છે.મનપાના નાયબ મ્યુનિ. કમિશનરની ખાતાકીય ભરતીમાં ઓફિસર સિલેક્શન કમિટીએ તાજેતરમાં હર્ષદભાઇ પટેલની પસંદગી કરી છે, જેને જનરલ બોર્ડની બહાલી મળશે. આ ઉપરાંત, જમીન કપાત સંબંધિત એક મહત્ત્વનો ફેંસલો પણ લેવામાં આવશે. શહેરના વોર્ડ નં. 2માં આવેલા કમલમ કાર્યાલય રોડ પર ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આસામીઓની જમીન 'લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ' હેઠળ કપાત કરીને રસ્તાને 8 મીટરથી 12 મીટરનો કરવામાં આવ્યો છે. તેઓને બદલામાં જમીન, વળતર, કે FSIનો વિકલ્પ આપવાની દરખાસ્ત અગાઉ વિવાદો વચ્ચે ત્રણ વખત પેન્ડિંગ રહ્યા બાદ મંજૂર થઈ હતી, જેને હવે બોર્ડમાં બહાલી માટે રજૂ કરવામાં આવી છે. અન્ય દરખાસ્તોમાં શહેરમાં 1056 આવાસોના લાભાર્થી નક્કી કરવા, વોર્ડ નં. 9માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને 'દ્વારકાધીશ માર્ગ' નામ આપવા, વોર્ડ નં. 3માં રેલનગરમાં સ્મશાન સામેના રોડ પર મુરલીધર સોસાયટી (સૂચિત) નજીક આવેલા ચોકને 'મુરલીધર ચોક' નામકરણ કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. તેમજ સ્પોર્ટ્સ સુવિધાના ભાડામાં સુધારા અને ગઇકાલે મંજૂર થયેલી દુકાનોની હરાજીના વેચાણ સહિતની દરખાસ્તોને પણ આવતીકાલે મંજૂરીની મહોર મારવામાં આવશે. આવતીકાલની સામાન્ય સભા વિપક્ષના ધારદાર પ્રશ્નો અને મહત્ત્વપૂર્ણ દરખાસ્તોને કારણે ભારે ચર્ચાસ્પદ બને એવી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 7:03 pm

સામાન્ય બાબતે યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો:રસ્તો કોઈના બાપનો નથી બાઈક જ્યાં છે ત્યાં જ રહેશે તેમ કહી ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

રોડ પર પડેલી બાઈક સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલ પાડોશી એ સાગરીતો સાથે મળી યુવાનને મારમાર્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલ રામદેવનગરમાં ઘરના દરવાજા સામે પડેલી બાઈક સાઈડમાં લેવા જણાવતા એક યુવાન પર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નારી રોડ સ્થિત રામદેવનગર શેરી નંબર.2 માં રહેતો અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો શૈલેષ બીપીનભાઈ કાનાણી ને ગઈકાલે બપોરના સમયે પોતાની કાર લઈને કામસબગ જેવું હોય આ યુવાનના ઘરના દરવાજાની સામે તેના પડોશમાં રહેતા રવિ દિનેશ મેર ની બાઈક પડી હોય આથી શૈલેષ એ રવિને તેનું બાઈક સાઈડમાં લેવા જણાવતા ઉશ્કેરાયેલ રવિએ શૈલેષને કહેલ કે રસ્તો કોઈના બાપનો નથી બાઈક જ્યાં છે ત્યાં જ રહેશે તેમ કહી રવિ એ તેના સાગરીતો સુનિલ રાંધાણી, કાળુ રાંધણી, અને દિનેશ ગગજી મેરને સ્થળ પર બોલાવી શૈલેષ સાથે ઝઘડો કરી તેના પર પાઇપ વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે ઇજાગ્રસ્ત શૈલેષ ની માતા સોના ઉર્ફે સોનલબેન બીપીનભાઈ કાનાણીએ ચારેય હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:48 pm

રાજકોટમાં 18 કલાકમાં આગના 3 બનાવ:મેંગણી રોડ પર પ્લાસ્ટિક ડીશ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, 3 કિમી દૂર સુધી ધુમાળાના ગોટેગોટા દેખાયા

રાજકોટમાં છેલ્લા 18 કલાકમાં આગ લાગવાના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં 18 નવેમ્બરની મોડી રાત્રે માંડા ડુંગર નજીક ખાણમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી હતી. જ્યારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આજે સાંજના 5 વાગ્યાના અસરામાં રાજકોટ કાલાવડ રોડ પર મેંગણી સાંગણવા રોડ પર આવેલી પ્લાસ્ટિકની ડીશો બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જોકે, સદનસીબે કોઇપણ આગની ઘટનામાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્લાસ્ટિકની ડીશ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગઆગનો પહેલા બનાવમાં રાજકોટ-કાલાવડ રોડ પર પાળ નજીક મેંગણી સાંગણવા રોડ પર શ્રી રાજ ફેક્ટરી આવેલી છે. જે ફેક્ટરીમાં પ્લાસ્ટિકની ડીશ બનાવવામાં આવી રહી હતી. આજે સાંજના સમયે ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક મેટોડા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાથી રાજકોટ અને શાપરથી ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. ધુમાળાના ગોટેગોટા 3 કિમી દૂર સુધી દેખાયાઆગ એટલી વિકરાળ હતી કે જેના ધુમાળાના ગોટેગોટા 3 કિમી દૂરથી દેખાઈ રહ્યા હતા અને ફેક્ટરીની દીવાલ તોડી તાત્કાલીક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે અને તેને કાબુમાં આવતા લગભગ રાત્રિના 8થી 9 વાગ્યા સુધી સમય લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી અને આગ કયા કારણોસર લાગી હતી તે પણ જાણી શકાયું નથી. આગ કાબુમાં આવ્યા બાદ કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોડી રાત્રિના માંડા ડુંગર નજીક કચરાના ઢગલામાં ભીષણ આગઆગના બીજા બનાવમાં રાજકોટના માંડા ડુંગર નજીક રામાપીર મંદિર સામે ખાણમાં કચરાના ઢગલામાં મોડી રાત્રિના ભીષણ આગ લાગી હતી. જે બનાવ અંગે જાણ થતાં રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી લગભગ એકથી દોઢ કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડર લીકેજના કારણે મકાનમાં આગ લાગીજ્યારે આગના ત્રીજા બનાવમાં રાજકોટ શહેરના માવડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવવી હતી. જેમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને કોઈ જાનહાની સમાચાર પણ સામે આવ્યા નથી. બન્ને બનાવમાં ફાયર બ્રિગેડ ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:46 pm

આવતીકાલે ભાવનગરના કેટલાંક વિસ્તાર 'નો ડ્રોન ફ્લાય ઝોન':ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવી રહ્યા છે. નારી ચોકડી નજીક આવેલા નાની ખોડિયાર પાસે આવેલા ભાવ કમલમ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતે કાર્યક્રમ યોજવાનો છે. જેને લઈ ગૃહમંત્રીના ભાવનગર જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ પ્રવાસ રૂટ ઉપર તથા અન્ય જરૂરી સ્થળ ખાતે સવારના 8થી રાત્રીના 8 સુધી ''નો ડ્રોન તથા અન્ય UAV(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન” અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભાવનગર એરપોર્ટ તથા તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, ભાવ કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરિયા, કોન્વોય રૂટ ભાવનગર એસ્પોર્ટ રૂવા ગામ- બાલા હનુમાન ત્રણ રસ્તા- નેચરલ પાર્ક- સુભાષનગર ચોક- લાલ બહાદુરશાસ્ત્રી સર્કલ મહિલા કોલેજ- આંબાવાડી સર્કલ-ઘોઘા સર્કલ- રૂપાણી સર્કલ- આતાભાઇ ચોક- સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા- કાળીયાબીડ પાણીની ટાંકી- જવેલ્સ સર્કલ- આર.ટી.ઓ. સર્કલ- દેસાઇનગર- ચિત્રા મસ્તરામ મંદિર- માર્કેટીંગ યાર્ડ- નારી ચોકડી- સભા સ્થળ તથા તેની આસપાસનો 1 કિ.મી.ના એરિયાને “નો ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:41 pm

100 કરોડના સાયબરફ્રોડ કેસમાં EDએ ડૉ. મકબુલની 'આર્થિક નસ' દબાવી:ડૉ. મકબુલ, પત્ની અને પુત્રની 2.13 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ, મની લોન્ડરિંગ એકટ મુજબ કાર્યવાહી

સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારા 100 કરોડના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલા ગુના બાદ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહેલી EDએ આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા ડૉ. મકબુલ અબ્દુલ રહેમાન અને તેના પરિવારની 'આર્થિક નસ' દબાવી દીધી છે. EDએ મોટી કાર્યવાહી કરતા ડૉ. મકબુલ, તેમની પત્ની અને પુત્રના નામે રહેલી કુલ રૂપિયા 2,13,37,000 ની ત્રણ સંપત્તિઓ ટાંચમાં લીધી છે. આ ત્રણ સંપત્તિ ટાંચમાં લેવામાં આવીEDની તપાસમાં બહાર આવ્યું હતું કે, સાયબર ફ્રોડના કાળા નાણાંનો ઉપયોગ કરીને આરોપીઓએ કરોડોની સ્થાવર મિલકતો વસાવી હતી. આ દિશામાં તપાસ બાદ EDએ ત્રણ મુખ્ય મિલકતો ટાંચમાં લીધી છે. ચોર્યાસી તાલુકામાં આવેલી કિંમતી જમીનપહેલી કાર્યવાહી ચોર્યાસી તાલુકામાં આવેલી જમીન પર કરવામાં આવી છે. અહીંના રેવન્યુ સર્વે નંબર 2046, 2055-A અને 2055-B વાળી જમીન, જે મુખ્ય આરોપી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેની પત્ની સોમૈયા મકબુલ ડોક્ટરના સંયુક્ત નામે હતી, તેને ટાંચમાં લેવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીનની કિંમત રૂપિયા 1,21,45,000 આંકવામાં આવી છે. જલાલપુરમાં આવેલો 'દીવાને ખાસ' બીજી મોટી મિલકત નવસારી નજીક જલાલપુર ખાતે આવેલી છે. અહીં 'દીવાને ખાસ' પ્રોજેક્ટમાં આવેલો બ્લોક નંબર 145 અને પ્લોટ નંબર 64, જેની કિંમત રૂપિયા 86,22,000 છે, તેને પણ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સંપત્તિ માત્ર ડૉ. મકબુલની પત્ની સોમૈયા મકબુલના નામે નોંધાયેલી હતી. EDએ આ સંપત્તિને ફ્રોડના રૂપિયાથી વસાવેલી ગણીને ટાંચમાં લીધી છે. ગોપીપુરામાં આવેલી કોમર્શિયલ દુકાનત્રીજી કાર્યવાહી ડૉ. મકબુલના પુત્ર કાશિફ મકબુલની સંપત્તિ પર થઈ છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા જાણીતા 'મન મંદિર કોમ્પ્લેક્સ' માં આવેલી કોમર્શિયલ શોપ નંબર-5 (દુકાન નં. 5) ને ટાંચમાં લેવામાં આવી છે. આ દુકાન કાશિફના નામે હતી. આમ, EDએ ડૉક્ટર સાથે તેમના પરિવારના સભ્યોની સંપત્તિ પણ જપ્ત કરી લેતા આરોપી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. શું છે 100 કરોડનું કૌભાંડ? કેવી રીતે થઈ EDની એન્ટ્રી?વર્ષ 2024માં સુરત SOG એ એક મેગા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મહિને 10 થી 12 હજાર રૂપિયા કમિશન આપવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટ, નકલી સમન્સ અને ઓનલાઈન છેતરપિંડી દ્વારા ભોળી જનતા પાસેથી પડાવેલા કરોડો રૂપિયા આ ભાડાના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. આ નાણાંને તુરંત જ USDTમાં કન્વર્ટ કરી દુબઈ અને અન્ય વિદેશી દેશોમાં મોકલી દેવામાં આવતા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડ 100 કરોડથી પણ વધુનું હોવાનું મનાય છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય હવાલા અને મની લોન્ડરિંગની ગંધ આવતા જ EDએ તપાસમાં ઝંપલાવ્યું હતું. EDના દરોડા અને તપાસનો ધમધમાટઆ પ્રકરણમાં EDએ અગાઉ મુખ્ય સૂત્રધાર મકબુલ ડોક્ટરના ભાગાતળાવ સ્થિત નિવાસસ્થાન સહિત ત્રણ અલગ-અલગ ઠેકાણે દરોડા પાડ્યા હતા. સુરત ઉપરાંત અમદાવાદમાં પણ EDની ટીમો સક્રિય છે. EDનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે 100 કરોડનું ફંડિંગ ક્યાં ગયું? કોના દ્વારા ગયું અને તેનો અંતિમ લાભાર્થી કોણ છે?મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં EDએ સાબિત કરવા માંગે છે કે, જે સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી છે, તે 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' માંથી ખરીદવામાં આવી છે. આરોપીઓની લાંબી યાદી અને મોડસ ઓપરેન્ડીSOGએ 15 ઓક્ટોબર 2024 ના રોજ ડૉ. મકબુલ, કાશિફ મકબુલ અને માઝ નાડા સામે ભારતીય ન્યાય સંહિતા (BSS)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ બનાવી હતી અને પ્રિ-એક્ટિવ સિમકાર્ડનો ઉપયોગ કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું. આ કેસમાં તપાસ દરમિયાન અન્ય મોટા માથાઓના નામ પણ ખુલ્યા છે, જેમાં કુખ્યાત ઉદેહ આરીફ મિન્ડી, અલી બિલાલ ઝવેરી, પીરમોહમ્મદ મેમણ, સત્યમ ગુપ્તા, ઓમ રાજેન્દ્ર પંડ્યા, મિતેશ ઠક્કર, અંકિત બુંદેલા અને અબરારખાન પઠાણનો સમાવેશ થાય છે. હાલમાં ED દ્વારા 2.13 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાતા સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ સંપત્તિઓ ટાંચમાં લેવાય અને વધુ ધરપકડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:40 pm

કંડલા પોર્ટ સામે વારસદારોના ધરણા શરૂ:જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ કરી, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગાંધીધામ તાલુકાના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે ફરજ દરમિયાન જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ સાથે પોર્ટ સંકુલ સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આ વારસદારો પોર્ટ પ્રશાસન સામે પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે. અંદાજીત 440 જેટલા વારસદારો પૈકી મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુકો અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા છે. આ આંદોલન છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી માંગણીઓનો એક ભાગ છે. સ્વૈચ્છિક સંસ્થાના જિલ્લા સંયોજક હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી પોર્ટ ખાતે કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના સંતાનો કે વારસદારોને નોકરી પર લેવામાં આવ્યા નથી. આ કારણે જરૂરિયાતમંદ લોકોના હિત માટે આ ધરણા શરૂ કરાયા છે. મહત્વનું છે કે, ગત વર્ષે પણ આ જ બાબતે અનેક રજૂઆતો અને સંઘર્ષ બાદ કુલ 17 વારસદારોને પોર્ટ ખાતે નોકરી અપાઈ હતી. જોકે, બાકી રહેલા 440 જેટલા વારસદારોને હજુ સુધી તેમના વડીલોની અવેજીમાં નોકરી મળી શકી નથી. જો કંડલા પોર્ટ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે રસ્તા રોકી ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દરમિયાન, ગરીબ વર્ગના નોકરી વંચિત વારસદારોના મામલે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના જનપ્રતિનિધિ ઓમપ્રકાશ દાદલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓએ ફોન રિસીવ ન કરતાં તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:39 pm

જૂનાગઢમાં અશાંત ધારો લાગૂ કરવા કલેક્ટરે કમિટી રચી:ખામધ્રોળ, ઉપરકોટ સહિતના વિસ્તારોમાં પોલીસ-મામલતદારની અધ્યક્ષતામાં સર્વે શરૂ

જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાગૂ કરવાની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. લાંબા સમયથી શહેરના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં આ કાયદો લાગૂ કરવા માટે સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા ઉગ્ર માગણીઓ થઈ રહી હતી, જેને પરિણામે વહીવટી તંત્રએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ કમિટી દ્વારા કયા-કયા વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવો તે સહિતની જુદી-જુદી બાબતો પર વ્યાપક સર્વેક્ષણનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.​ તમામ રજૂઆતોને ધ્યાને રાખી કલેક્ટરે સત્તાવાર કમિટી રચીજૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો છેલ્લા ઘણા દિવસોમાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ અન્ય સત્તાધીશોને થઈ છે. આ તમામ રજૂઆતોને એકીકૃત કરીને હવે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સત્તાવાર રીતે આ કમિટીની રચના કરવામાં આવી છે.​​ જુદા-જુદા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી આ કમિટીની રચના પોલીસ અને મામલતદારની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. આ કમિટીમાં માત્ર મહેસૂલી અને પોલીસ વિભાગના અધિકારીઓ જ નહીં, પરંતુ અન્ય ટેકનિકલ વિભાગોના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. કમિટીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, સીટી સર્વેયર સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ બહુ-વિભાગીય કમિટી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે, આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક-આર્થિક સ્થિતિનો સંપૂર્ણ અને નિષ્પક્ષ અહેવાલ તૈયાર કરી શકાય.​ અંતિમ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મૂકવામાં આવશેઆ કમિટીનું મુખ્ય કાર્ય આખું મેપ તૈયાર કરવાનું રહેશે. આ મેપ તૈયાર કરવા માટે માત્ર વર્તમાન પરિસ્થિતિ જ નહીં, પરંતુ ભૂતકાળની ઘટનાઓનો પણ ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે. આ તમામ વિસ્તૃત માહિતીના આધારે રિપોર્ટ તૈયાર કરાશે. કમિટી આ રિપોર્ટમાં સ્પષ્ટપણે સૂચનો કરશે કે કયા કયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો કે નહીં. અંતિમ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મુકવામાં આવશે, જેના પર અંતિમ વહીવટી નિર્ણય લેવામાં આવશે.​ જુદા-જુદા વિસ્તારમાંથી જિલ્લા કલેકટર, CM સહિતનાઓને રજૂઆતોઅશાંત ધારો લાગૂ કરવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી રજૂઆતો જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી સહિતનાઓને કરાઈ હતી. જે વિસ્તારની વાત કરીએ તો મુખ્યત્વે ખામધ્રોળ રોડ, ઉપરકોટ અને જોશીપરાના અનેક વિસ્તારોમાં આ કાયદો લાગૂ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં મિલકતોના વેચાણ અને કબજાને લઈને સ્થાનિકોમાં ઊભી થયેલી અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે આ કાયદાની માગણી થઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:36 pm

તંત્ર દ્વારા રિહર્સલ:એરપોર્ટથી લઈ નારી ચોકડી સુધી તંત્ર દ્વારા રિહર્સલ કરાયું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 'ભાવ કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે

અમિત શાહ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ભાવનગરના મહેમાન બનશે. ભાવનગર જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય 'ભાવ કમલમ'નું લોકાર્પણ આવતીકાલે તા.20 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે તે પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શહેરના નારી ચોકડી નજીક આવેલા આ કાર્યાલયનો લોકાર્પણ સમારંભ યોજાશે. જેના ભાગરૂપે પોલીસે એરપોર્ટ ખાતેથી લઈને નારી ચોકડી કાર્યક્રમ સ્થળ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષાનું રીહર્સલ કર્યું હતું. પોલીસના મસમોટા કાફલા સાથે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું​કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે, વહીવટી તંત્ર અને પોલીસે એરપોર્ટ ખાતેથી લઈને નારી ચોકડી કાર્યક્રમ સ્થળ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષાનું રીહર્સલ કર્યું હતું. ​સુરક્ષાના ભાગરૂપે, એરપોર્ટથી લઈને સ્થળ સુધીના રૂટ પર પોલીસના મસમોટા કાફલા સાથે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી આ મહત્વપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. આ લોકાર્પણથી ભાવનગર જિલ્લામાં ભાજપની સંગઠનાત્મક ગતિવિધિઓને નવી દિશા મળશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:35 pm

ચાંદખેડા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો:ચોરીના ગુનામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયા (રહે. વટવા, જિ. અમદાવાદ) હાલમાં મહેસાણા ટાઉન મામલતદાર કચેરીની સામે ઊભો છે. બાતમીમાં આરોપીના પહેરવેશનું પણ ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું હતું જેમાં તેણે કાળા જેવા કલરનું અડધી બાયનું ચોકડીવાળું શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું હતું. બાતમી આધારે સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યોઆ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે જઈને ઈસમને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પોલીસે તેની ઓળખ આપીને નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયા હુસેનમીયા (ઉંમર 52, રહે. મકાન 87, બ્લોક-3, સદભાવના નગર, ચાર માળીયા, વટવા, અમદાવાદ શહેર)વાળો હોવાનું જણાવ્યું હતું. ચોરીના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યુંપોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વેરિફાઈ કરાવતા આ આરોપી ઉપરોક્ત ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આથી મહેસાણા એ ડિવિઝન પોલીસે આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-35(1)(જે) મુજબ અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:35 pm

પાટણમાં યુનિટી માર્ચની રેલી સ્થાનિકોએ અટકાવી:વોર્ડ નંબર 11ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ, વિકાસના કામો ન થવા મુદ્દે પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો

પાટણ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'યુનિટી માર્ચ' અંબાજી નેળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સ્થાનિક મહિલાઓએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો હતો. વોર્ડ નંબર 11ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો ન થવાને કારણે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો તેમજ પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી માહી સોસાયટી, એપોલોનગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ, દીયાંના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. રહીશોના કહેવા મુજબ, અગાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, ચોમાસું પૂર્ણ થયા બાદ પાણીની લાઈન નાખવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. જોકે, ચોમાસું પૂર્ણ થયાને બે મહિના જેટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આથી, જ્યારે યુનિટી માર્ચ આ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે ત્રસ્ત મહિલાઓએ રેલી અટકાવી હતી. તેમણે પ્રમુખ અને કોર્પોરેટરોને ઘેરીને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરી હતી. મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર વાયદાઓ નહીં, પરંતુ આ સમસ્યાનું કાયમી અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, ચોમાસામાં માહી સોસાયટી પાસે જે પાણી ભરાય છે, તેને લઈ રજુઆત કરવા આવ્યાં હતા. આ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન નાખવાનું રી ટેન્ટર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ટેન્ડર ખોલી આ ભૂગર્ભ ગટરની નવીન લાઈન નાખવામાં આવશે. સાથે 47 લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:24 pm

ચૈતર વસાવાએ પાક નુકસાન સહાયને 'લોલીપોપ' ગણાવી:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પ્રવાસ દરમ્યાન ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા, ખેડૂતોને 10 હજાર કરોડના પેકેજમાં વિલંબ

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવવામાં વિલંબ અને પ્રક્રિયાની જટિલતા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 હજાર કરોડના સહાય પેકેજને માત્ર 'લોલીપોપ' ગણાવ્યું છે.ધારાસભ્ય વસાવાના જણાવ્યા અનુસાર, પાક નુકસાનની જાહેરાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો મળ્યો નથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો સરકારે સહાય ચૂકવવાની જ હતી, તો ઓનલાઈન ફોર્મ ભરાવવાની અને તેમાં આટલી જટિલ પ્રક્રિયાઓ શા માટે રાખવામાં આવી? વસાવાએ આક્ષેપ કર્યો કે સરકારે નુકસાનગ્રસ્ત ૪૪ લાખ હેક્ટરનો સર્વે અને ખેડૂત જોગ યાદી તૈયાર હોવા છતાં, ડાયરેક્ટ ખાતામાં પેમેન્ટ આપવાને બદલે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાવી છે. આ પ્રક્રિયા માટે ખેડૂતો પાસેથી વીસી (ગ્રામ કમ્પ્યુટર ઓપરેટર) મારફતે ₹૧૫૦ વસૂલવામાં આવી રહ્યા છે, જે ખેડૂતો પર વધારાનો બોજ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે 20 હજાર કરોડની જોગવાઈ કરીને 100 ટકા નુકસાનમાં પ્રતિ હેક્ટર રૂ.22 હજાર આપવાની વાત કરી હતી. જોકે, હવે નુકસાનીના દાવામાં 70 ટકા 50 ટકા કે 60 ટકા જેવી ટકાવારી બતાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને મળનારી સહાય ઘટાડશે. ચૈતર વસાવાએ અગાઉના વચનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ગત વર્ષે જાહેરાત કરાયેલા ₹369 કરોડ અને બીજા તબક્કામાં રૂ.1740 કરોડમાંથી રૂ.500 કરોડ પણ હજુ સુધી ચૂકવાયા નથી. ધારાસભ્ય વસાવાએ આ સમગ્ર મામલાને માત્ર 'જાહેરાત' અને 'લોલીપોપ' ગણાવતા કહ્યું કે સરકારે કરેલી ₹ 10 હજાર કરોડની જોગવાઈમાંથી ખેડૂતોને ₹ 5 હજાર કરોડ પણ ચૂકવવાનો ઈરાદો નથી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:23 pm

કોંગ્રેસના કાર્યકર્તાઓની દારૂના અડ્ડા પર રેડ:ભરત કેન્સર હોસ્પિટલથી 300 મીટર દૂર દારૂનો અડ્ડો, કોંગ્રેસ પ્રમુખે કહ્યું- બેરોકટોક ચાલતા અડ્ડાઓ પર અમે આ રીતે રેડ કરીશું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને એક મોટો મુદ્દો સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં લગભગ 20થી 25 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અચાનક એક ગેરકાયદેસર દારૂના અડ્ઢા પર રેડ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેન્સર હોસ્પિટલથી 300 મીટર ખુલ્લેઆમ ધમધમતો દારૂનો અડ્ડોકોંગ્રેસનો ખેસ પહેરીને પહોંચેલા કાર્યકર્તાઓએ જ્યારે દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ રેડ દરમિયાન દારૂના અડ્ડા પર અનેક વિદેશી દારૂની બોટલો, બિયરની ટીમ મળી આવી હતી. તેમજ ચારથી પાંચ જટેલા ટેબલ પર દારૂની બોટલો અને ચખણા પણ જોવા મળ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ દારૂનો અડ્ડો ભરત કેન્સર હોસ્પિટલથી માત્ર 300 મીટર ટૂંકા અંતરે જ ખુલ્લેઆમ ધમધમી રહ્યો હતો. જે સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસે દારૂના અડ્ડા પરની રેડ ફેસબુક પર લાઈવ કરીકોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર રેડની ઘટનાને ફેસબુક પર લાઈવ કરી હતી જેના કારણે આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. દારૂનો જથ્થો મળતા જ કોંગ્રેસના નેતાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. બેરોકટોક ચાલતા દારૂના અડ્ડાઓ પર અમે રેડ કરીશું: વિપુલ ઉધનાવાલાકોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ આવી જ રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અમે અત્યારે રેડ કરવાની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં જો આવી જ રીતે બેરોકટોક દારૂના અડ્ડાઓ ચાલતા રહેશે તો અમે વધુ રેડ કરીશું અને કાયદા વ્યવસ્થાની નિષ્ફળતાને જનતા સામે લાવીશું. પોલીસ રિક્ષામાં દારૂની બોટલો ભરીને રવાના થઈ હતીઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે કોંગ્રેસે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અને કાયદા વ્યવસ્થાને મુખ્ય મુદ્દો બનાવવાની રણનીતિ અપનાવી છે. હોસ્પિટલ નજીક જ દારૂનો અડ્ડો ચાલવો અને વિપક્ષ દ્વારા રેડ કરવી આ ઘટનાએ સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર પર મોટું દબાણ ઊભું કર્યું છે. જોકે, પોલીસ રિક્ષામાં ત્રણ-ચાર થેલામાં દારૂની બોટલો ભરીને રવાના થઈ હતી, પરંતુ અત્યાર સુધી ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:22 pm

આણંદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા યોજાઈ:અમૂલ ડેરીથી ટાઉનહોલ સુધીની જિલ્લાકક્ષાની એકતા પદયાત્રામાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રાનો શુભારંભ અમૂલ ડેરીના પ્રાંગણમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયા બાદ કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે આણંદની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. ઉપરાંત, શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસદ મિતેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન હૈદરાબાદ, જૂનાગઢ સહિતના 562 રજવાડાઓને એકત્રિત કરવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું, જે ફક્ત સરદાર પટેલ જ કરી શકે. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષા મકવાણા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસકર્મીઓ, આણંદ જિલ્લાના અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:20 pm

આરોપીઓના પરિવારને છેતરતો ભેજાબાજ ઠગ:ક્યારેક ફૂડ ઓફિસર તો ક્યારેક જેલર તરીકે વાત કરતો, આરોપીઓના સગાસંબંધીઓના નંબર મેળવવા વકીલ બની પોલીસ સાથે વાત કરતો

સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એક જ વ્યક્તિ અલગ-અલગ સમયે પોલીસ અધિકારી, મહેસૂલ અધિકારી, ફૂડ સેફ્ટી ઓફિસર અને જેલર બનીને અનેક લોકોને શીશામાં ઉતારી ચૂક્યો છે. મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા રાજેશ નરેન્દ્રભાઈ ત્રિવેદી નામના આ શખ્સ વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ 18 નવેમ્બર 2025ના રોજ વધુ એક ગુનો નોંધાયો છે. હાલમાં જ સચિન પોલીસ સ્ટેશન કેસના નકલી જેલર કેસમાં અમદાવાદ પોલીસે રાજેશની ધરપકડ કરી સચિનને સોંપ્યો છે. પોલીસ અધિકારી તરીકે રુઆબ બતાવી તોડપાણી કરતોઆરોપી રાજેશ ત્રિવેદી કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે વેશ બદલવામાં અને અવાજ બદલીને સામેવાળાને વિશ્વાસમાં લેવામાં માહેર છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રાજેશ ત્રિવેદી માત્ર નકલી જેલર જ નથી બન્યો, પરંતુ ભૂતકાળમાં તેણે અલગ-અલગ સરકારી હોદ્દાઓના નામે લોકો સાથે મોટી છેતરપિંડી આચરી છે. આરોપી અગાઉ પોલીસની વર્દીનો રુઆબ બતાવી અથવા ફોન પર પોલીસ અધિકારી તરીકે વાત કરીને સામાન્ય નાગરિકોને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી ચૂક્યો છે. આરોપી સામે સુરત સિવાય અમદાવાદ અને અમરેલીમાં પણ ગુનાજમીન-મિલકતના કામોમાં અટવાયેલા લોકોને મહેસૂલ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી, કામ પતાવી આપવાના બહાને તેણે મોટી રકમો વસૂલી છે. હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને ત્યાં દરોડા પાડવાના બહાને અથવા સેમ્પલ ફેલ કરવાની ધમકી આપીને 'ફૂડ સેફ્ટી ઓફિસર' બનીને તોડપાણી કર્યાના બનાવો પણ તેના નામે બોલે છે. આરોપી વિરુદ્ધ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ અગાઉ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપીએ જસ્ટ ડાયલ પરથી અડાજણ પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યોઆરોપીની ગુના કરવાની પદ્ધતિ અત્યંત શાતિર છે. સુરતના અડાજણ વિસ્તારમાં બનેલા બનાવમાં તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખુદ પોલીસને જ અંધારામાં રાખી હતી. આરોપીએ 'જસ્ટ ડાયલ' મોબાઈલ એપ્લિકેશન દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરજ પરના પીએસઓ સાથે વાત કરી હતી. અહીં તેણે પોતાની ઓળખ એક 'વકીલ' તરીકે આપી હતી. વકીલ તરીકેની ઓળખ આપી આરોપીના પરિવારના નંબર મેળવ્યાપીએસઓને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, અડાજણ પોલીસ સ્ટેશનમાં જે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે, હું તેમનો વકીલ બોલું છું. મારે તેમને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી માહિતીની જરૂર છે. આમ કહીને તેણે ચાલાકીપૂર્વક પકડાયેલા આરોપીઓના સગા-સંબંધીઓના મોબાઈલ નંબર અને અન્ય વિગતો પોલીસ પાસેથી મેળવી લીધી હતી. એકવાર નંબર મળી ગયા પછી તે સીધો સગા-સંબંધીઓને ફોન કરતો અને પોલીસ કે જેલ અધિકારી બનીને પૈસાની માંગણી કરતો હતો. 'મેં લાજપોર સેન્ટ્રલ જેલ સે સુપ્રિટેન્ડેન્ટ યુસુફ બોલ રહા હું'આ સિરિયલ ચીટર વિરુદ્ધ તાજેતરમાં સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા એક રેસ્ટોરન્ટ માલિકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ, ઝાંપાબજારના તૈયબી મહોલ્લા, નુર પેલેસમાં રહેતા અને શાહપોરમાં 'સુપર રેસ્ટોરન્ટ' ચલાવતા મઝહરસાબ કમરસાબ સૈયદ (ઉ.વ. 37) ના સાળા સલમાન હાલ કોઈ ગુનાના કામે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે. ગત તારીખ 16મીના રોજ સવારે 11 વાગ્યે મઝહરસાબ પોતાના ઘરે હતા ત્યારે અચાનક એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન ઉપાડતાની સાથે જ સામેવાળી વ્યક્તિએ હિન્દીમાં રોફ જમાવતા કહ્યું, મેં લાજપોર સેન્ટ્રલ જેલ સે સુપ્રિટેન્ડેન્ટ યુસુફ બોલ રહા હું. જેલમાં ચા-નાસ્તો આપવા બદલ 7,000 રૂપિયાની માંગણી કરીઆરોપીએ આગળ કહ્યું કે, આપ કે સાલે સલમાનને મુજે આપકા નંબર દિયા હૈ ઔર બોલા હૈ કી મેરે જીજાજી કો બોલ દેના કી કોઈ ફિકર ના કરે, હમને ઉસકો ટિફિન ચાલુ કર દિયા હૈ. જ્યારે મઝહરસાબે પૂછ્યું કે, આ બધું કોના કહેવાથી કર્યું? ત્યારે આરોપીએ લાગણીનો ખેલ રમતા કહ્યું, મેં અપને જ્ઞાતિ બંધુઓ કે લિયે યે કરતા હું ઔર અપને જ્ઞાતિ વાલા સમાજ કે લિયે યે કામ કર રહા હું. આમ કહીને તેણે સલમાનને જેલમાં ચા-નાસ્તો, જમવાનું અને સારી સુવિધાઓ પૂરી પાડવાના બદલામાં ગૂગલ પે દ્વારા 7,000 રૂપિયાની માંગણી કરી હતી. 'વંદે ભારત' નામના ગૂગલ પે આઈડીનો ભાંડો ફૂટ્યોઆરોપીએ મઝહરસાબને કહ્યું કે, ગૂગલ પે પર 'વંદે ભારત' નામ આવશે, તેમાં પૈસા ટ્રાન્સફર કરી દેજો. જોકે, મઝહરસાબને શંકા જતા તેમણે સામેથી કહ્યું કે હું તમને રૂબરૂ મળીને રોકડા આપી જાઉં? આ સાંભળતા જ આરોપી ગભરાયો હતો અને તેણે રૂબરૂ મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે ફોન પર ગમે તેમ બોલીને ફોન કાપી નાખ્યો હતો. મઝહરસાબે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીબીજા દિવસે જ્યારે મઝહરસાબના મોટા સાળા જેલમાં સલમાનને મળવા ગયા અને પૂછપરછ કરી, ત્યારે સલમાને સ્પષ્ટ કર્યું કે તેણે કોઈ અધિકારીને નંબર આપ્યો નથી કે આવી કોઈ વાત થઈ નથી. આથી મઝહરસાબને ખાતરી થઈ ગઈ કે કોઈ અજાણ્યા ઈસમે જેલરની ખોટી ઓળખ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ મઝહરસાબે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબર અને ગૂગલ પે આઈડીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. નાગરિકો માટે ચેતવણીએસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું, નાગરિકોને અપીલ કરી છે કે જેલમાંથી કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીના નામે ફોન આવે અને પૈસાની માંગણી કરે તો ક્યારેય ભરમાવું નહીં. સરકારી અધિકારીઓ ક્યારેય ફોન પર આવી રીતે પૈસા માંગતા નથી. આવા કોઈ પણ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:20 pm

આવતીકાલે સવારે 11 થી સાંજે 5 મુંબઈ એરપોર્ટ બંધ રહેશે:અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત થતી ફ્લાઈટ પર અસર થશે, મુસાફરોને એરલાઈન્સ સાથે સંપર્કમાં રહેવા અપીલ

ચોમાસા પછી મેઈન્ટેનન્સના ભાગરૂપે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતીકાલે એટલે કે, 20 નવેમ્બરના રોજ કામચલાઉ ધોરણે બંધ રહેશે. જેને કારણે અનેક એરપોર્ટ પરથી સંચાલિત ફ્લાઇટ પર તેની અસર જોવા મળશે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ જાળવણીનું કામ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મુજબ ચાલશે. જેથી એરપોર્ટ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન કામચલાઉ રીતે બંધ રહેશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ્સ પર અસર થશેઆ કામકાજના કારણે અનેક એરપોર્ટ્સ પર તેની સીધી અસર જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને અહીં ઉતરવાની અનેક ફ્લાઇટ્સ પર તેનો પ્રભાવ પડશે. કેટલાક ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તો કેટલીક ફ્લાઇટ્સ ને રદ્દ પણ કરવામાં આવી શકે છે. મુસાફરોને પોતાની ફ્લાઇટ્સની કરંટ ઇન્ફોર્મેશન માટે એરલાઈન કંપનીઓ સાથે સંપર્કમાં રહેવાની અને એરપોર્ટ પર સમયસર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:20 pm

ડુમસ બીચ પર ખુલ્લેઆમ નશાખોરી, VIDEO:ગાંજો ફૂંકીને ફોટોગ્રાફરને હેરાન કર્યો, ફરિયાદ કરે તો પોલીસ તડીપારની ધમકી આપતા હોવાનો આક્ષેપ; રડતા-રડતા કલેક્ટરને રજૂઆત

સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજી-રોટી પર સંકટ આવી પડ્યું છે. ખુલ્લેઆમ ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતાં-રડતાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે, પોલીસ ખોટી રીતે કલમ-151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે જેના પુરાવારૂપે તેમણે બનાવેલા વીડિયો પણ રજૂ કર્યા છે. પોલીસ ફોટોગ્રાફરોની ખોટી રીતે અટકાયત કરી છેજિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર ફોટોગ્રાફરે ડુમસ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ પોલીસ સ્થાનિક લોકો સાથે મળીને તેમને ફોટોગ્રાફીનું કામ કરવા દેતી નથી. જ્યારે પણ તે બીચ પર જાય છે ત્યારે તે સ્થાનિક નથી તેમ કહીને તેમને ધંધો કરતા અટકાવવામાં આવે છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે, પોલીસ ફોટોગ્રાફરો વિરુદ્ધ ખોટી રીતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે. ડુમસ બીચ પર લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરતા હતાકેટલાક કિસ્સામાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરીને તડીપાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ, બીચ પરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીંધી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે તેમછતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે. 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર જવા ન દીધાફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય એવા વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા. ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું કે, અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે. અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલા લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે. ફોટોગ્રાફર રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યાવધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એકતરફી વાત સાંભળીને અમારી પર દબાણ લાવે છે અને તડીપાર કરવાની ધમકી આપે છે. અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે. રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમસ બીચ પર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે. તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરોવધુમાં જણાવ્યું હતું કે, હું અહીં 25 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છું. મારા ગામની જમીન મકાન બધું વેચીને અહીંનો સ્થાનિક બન્યો છું. પોલીસ કહે છે કે તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો. હું અહીંનો સ્થાનિક બની ગયો છું. છતાં પણ મને અહીં કામ કરવા નથી દેતા. ફોટોગ્રાફીનું કામ ચાલતા ચાલતા થાય એવું છે તો તેમાં શું લખાણ આપવાનું હોય. અમારી પાસે લખાણ માગવામાં આવે છે અને બીજા બધા ધંધા કરનાર પાસેથી પણ કોઈ લખાણ માગવામાં આવતું નથી.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:13 pm

ગોધરામાં 1680 કિલોગ્રામ શંકાસ્પદ માંસ ઝડપાયું:આરોપીઓ વાહન મૂકી નાસી છૂટ્યા, 6.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે

ગોધરા શહેરમાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો ઝડપાયો છે. શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી હતી. માંસની હેરાફેરી કરનારા આરોપીઓ વાહન મૂકી ફરાર થઈ ગયા હતા, જેમણે ભાગતી વખતે અનેક બાઈકને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તા પ્રગ્નેશ સોનીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે યુનુસ એહમદ સિદ્દીક ભાગલીયા અને મોહમ્મદ અલી રહેમત ઉર્ફે ભોભો ઇનોવા કારમાં ગૌમાંસનો જંગી જથ્થો લાવી રહ્યા છે. આ બાતમીના આધારે, પોલીસે અને પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ 18 નવેમ્બરના રોજ નિર્ધારિત જગ્યાએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ વાહનને પૂરઝડપે હંકારી મૂક્યું. પોલીસ અને ગૌરક્ષકોએ વાહનનો પીછો કર્યો. લાંબા પીછો કર્યા બાદ ઇનોવા કાર ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુખી ચોકડી પાસે પહોંચી, જ્યાં તેણે અનેક ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધા. આ ઘટનામાં ઇનોવા કારનું ટાયર ફાટી જતાં ગાડીમાં બેઠેલા ઇસમો નાસી છૂટ્યા. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 1680 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો. પોલીસે માંસનો જથ્થો અને વાહન મળીને કુલ 6.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 6:11 pm

વડોદરામાં ખાખીધારી ખંડણીખોર બન્યા:મહિલા મિત્ર સાથે કારમાં જઈ રહેલા વેપારીનું ફિલ્મીઢબે અપહરણ કર્યું, કેસમાં ફીટ કરવાની ધમકી આપી 50 લાખ માગ્યા

વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા 2 પોલીસકર્મી સહિત 4 શખ્સોએ મળીને અમદાવાદ SOG પોલીસમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપીને ભરૂચના વેપારીને ધાક ધમકી આપીને તેની પાસેથી 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સમયે વેપારી સાથે તેની મહિલા મિત્ર પણ હતી. આ સમયે 2 પોલીસકર્મી સહિતના આ 4 શખ્સોએ વેપારીને ધમકી આપતા કહ્યું હતું કે, અમે અમદાવાદ SOGના જવાનો છીએ, તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં હની ટ્રેપની પણ શક્યતા છે, જેને લઈને પણ માંજલપુર પોલસે તપાસ શરૂ કરી છે. મહિલા મિત્ર સાથે ઈનોવામાં જઈ રહેલા વેપારીનું અપહરણગત 12 નવેમ્બરના રોજ સવારે ભરૂચના 30 વર્ષીય વેપારી અફાન ઉસ્માનભાઈ કાની પોતાની મહિલા મિત્ર સાથે MS યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા. મહિલા મિત્રનું એડમિશનનું કામ પૂર્ણ થતાં તેઓ ભરૂચ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન એમની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ- 9 પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખવી હતી અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો અને અંદર બેસી જઈને પોલીસ હોવાનું જણાવ્યું હતું અને બધાના ફોન લઈ લીધા હતા અને મહિલા મિત્રને નીચે ઉતારીને વેપારીને સફેદ સ્કોર્પિયો કારમાં લઈ ગયા હતા. ત્યારબાદ વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર લઈ લેવા જણાવ્યું હતું અને રસ્તામાં આ શખ્સોએ પોતે અમદાવાદ SOGના જવાનો છીએ તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે નહીં હોવાનું અફવાને જણાવ્યું હતું. રકઝક કરતાં કાર એક્સપ્રેસ હાઈવેના અમદાવાદના સીટીએમ નાકે પહોંચી હતી. વેપારીએ પાંચ લાખ આપવાની તૈયારી બતાવતા પરત વડોદરા લવાયોઅંતે વેપારીએ 5 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફાનને પરત વડોદરા લવાયો હતો. બાદમાં એના ભાઈ સાથે ફોન પર વાત કરતાં ભરૂચથી 5 લાખ લઈને તાત્કાલિક વડોદરા પહોંચવા જણાવ્યું હતું અને કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો અને ફોન કરીને લાલબાગ પાસે આવેલા એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. આ સમયે ફરિયાદીએ આરોપી યાજ્ઞિકનો વીડિયો પણ ઊતાર્યો હતો. જે તેને પોલીસને આપ્યો છે. 4 લાખ ચૂકવતા જ અફાનને છોડી મૂક્યો4 લાખ મળી ગયા બાદ નકલી બન્ને પોલીસકર્મીઓએ અફાનને છોડી દીધો હતો, પરંતુ, મોબાઇલ ફોન પરત આપ્યો ન હતો. બીજા દિવસે ફોન કરી એક લાખ રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક ગલ્લા પર એક લાખ આપ્યા હતા, જેમાંથી 50 હજાર રૂપિયા તેને વેપારીને પરત કર્યા હતા અને ત્યારબાદ વેપારીએ ફોન પરત મેળવ્યો હતો. આમ કુલ 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીને સમગ્ર મામલે શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવીબાદમાં આખી ઘટનામાં અમદાવાદ SOGના પોલીસ જવાનો હોવાની ઓળખ આપનાર લોકો ઉપર શંકા જતા વેપારી અફાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બે આરોપી વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલ સિપાહી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક જેલ સિપાહી યાજ્ઞિક ચાવડા અને બીજો જેલ સિપાહી કે. ડી. પ્રજાપતિ છે. પોલીસે યાજ્ઞિક ચાવડા અને તેના મિત્ર આફતાબ પઠાણ(રહે. તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરી છે. જ્યારે જેલ સિપાહી કે. ડી. પ્રજાપતિ અને અન્ય એક એક શખ્સ કાનાભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કેસ હનીટ્રેપનો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવીવેપારી 15 દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેની મહિલા મિત્રના સંપર્કમાં આવ્યો હતો. આ કેસમાં હનીટ્રેપ કરવામાં આવી હોવાની પણ શક્યતા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. DCP ઝોન-3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, CCTV, કોલ ડિટેઇલ અને વિડિઓના આધારે માંજલપુર પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ 4 લાખ રૂપિયા આરોપીને આપ્યા તેનો વીડિયો પણ ઉતાર્યો હતો, એ ફરિયાદીએ અમને આપ્યો છે, એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:55 pm

રાજપીપળામાં સસ્તા અનાજની દુકાને સડેલા ઘઉં અપાતા ગ્રાહકોનો હોબાળો:'લેવા હોય તો લ્યો... નહિતર ફેંકી દો' કહી દુકાનદારે ઉદ્ધત વર્તન કર્યાનો આક્ષેપ

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં નવેમ્બર માસનું અનાજ વિતરણ દરમિયાન ભારે હોબાળો મચ્યો છે. સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા ઘઉં સડેલા, કોહવાઈ ગયેલા, જીવાત પડી ગયેલા અને જાળા બાઝી ગયેલા હોવાનું ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો. ગ્રાહકોના મતે, આ અનાજની ગુણવત્તા એટલી ખરાબ હતી કે પશુઓ પણ તેનો ઉપયોગ ન કરી શકે. દુકાનદારનું ઉદ્ધત વર્તનજ્યારે કાર્ડ ધારકોએ આવા સડેલા અનાજ લેવાનો ઇનકાર કર્યો, ત્યારે સ્થાનિક દુકાનદારે તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. કાર્ડ ધારકોના જણાવ્યા મુજબ, દુકાનદારે તેમને સ્પષ્ટ કહી દીધું કે, અમે અપાતા નથી, સરકારને રજૂઆત કરવાની હોય તો કરો. લેવા હોય તો લ્યો... નહિતર ફેંકી દો. દુકાનદારના આવા વર્તનથી ગ્રાહકોનો રોષ વધુ ભડક્યો હતો. મામલતદારને લેખિત રજૂઆતઆ ગંભીર મામલે નવા ફળિયા, ગણેશ ચોક વિસ્તારના ભૈયા રોશનબેને નાંદોદ મામલતદાર તેમજ નર્મદા કલેક્ટરને લેખિત અરજી કરી છે. તેમણે આ અંગે તાત્કાલિક પગલાં ભરવા અને ન્યાય અપાવવા માંગ કરી છે. કાર્ડ ધારકોએ ખરાબ અનાજ લેવાનો બહિષ્કાર કરતાં મામલો કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સુધી પહોંચ્યો છે. ખરાબ અનાજ માટે કોણ જવાબદાર?આવી નીચી ગુણવત્તાના સડેલા અનાજના વારંવાર વિતરણ પાછળ કોણ જવાબદાર છે, તે એક મોટો સવાલ છે. રાજ્ય સરકારમાંથી આવતા અનાજના જથ્થાનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ચેકિંગ કરીને મોકલવામાં આવે છે. સવાલ એ થાય છે કે જો અનાજ ખરાબ હોય તો જિલ્લા ગોડાઉન મેનેજર તેને કેમ પાછો નથી મોકલતા? ગોડાઉન મેનેજર દ્વારા ચેકિંગ બાદ પણ વારંવાર સડેલો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે કેમ પહોંચે છે? શું ગોડાઉન મેનેજર પોતાની ફરજમાં બેદરકાર છે? કાર્ડ ધારકોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે તપાસ કરીને જે પણ જવાબદાર હોય, પછી તે ગોડાઉન મેનેજર હોય કે અન્ય અધિકારી, તેમની સામે કડક પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:55 pm

મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી બસ સેવા પુનઃ શરૂ:બે મહિનાથી બંધ સંતરામપુર-આણંદ રૂટ પર વિદ્યાર્થીઓને રાહત

સંતરામપુર-આણંદ રૂટ પર છેલ્લા બે મહિનાથી બંધ પડેલી બસ સેવા મુખ્યમંત્રી કાર્યાલયના સીધા આદેશ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રાહતની લાગણી પ્રસરી છે. સંતરામપુર ડેપો દ્વારા અનિયમિત રીતે બંધ કરાયેલી આ બસ સેવાને કારણે કાંકણપુર, સેવાલીયા અને ડાકોર થઈને આણંદ જતા સેંકડો વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વિદ્યાર્થી અગ્રણી બારીઆ આશિષકુમાર ડી. દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ ગોધરા વિભાગીય કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યાના ઝડપી નિરાકરણ માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર દ્વારા 18 નવેમ્બર, 2025ના રોજ ગોધરા એસ.ટી. વિભાગીય નિયામકને તાત્કાલિક નિયમાનુસાર કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના આદેશના પગલે સંતરામપુર ડેપો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સંતરામપુર-આણંદ બસ સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમય બાદ બસ સેવા ફરી શરૂ થતા શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ડાકોર જતા શ્રદ્ધાળુઓમાં હાશકારો વ્યાપી ગયો છે.જોકે, સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને અપીલ કરી છે કે ભૂતકાળમાં જે રીતે મનસ્વી રીતે બસ બંધ કરી દેવામાં આવી હતી તેવું પુનરાવર્તન ન થવું જોઈએ. આ બસ સેવા હવે નિરંતર અને નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે ગોધરા ડિવિઝન કંટ્રોલર એમ.કે. ડામોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગોધરા વિભાગના તમામ ડેપોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતને પ્રાધાન્ય આપીને જ બસોનું સંચાલન કરવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે, ક્યારેક અનિવાર્ય વહીવટી કારણોસર અથવા સ્ટાફની અછતના લીધે અમુક બસો હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડતી હોય છે. સંતરામપુર-આણંદ રૂટ પણ વહીવટી મુશ્કેલીના કારણે ટૂંકા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને આ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે અને તેને નિયમિત રીતે ચલાવવા સૂચના અપાઈ છે. મુસાફરોને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:40 pm

નવસારીમાં 353 આરોપીઓનું 100 કલાકમાં સઘન ચેકિંગ:દિલ્લીમાં કારમાં વિસ્ફોટની ઘટના બાદ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર

તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થયો હતો. જે બાદ ગુજરાત પોલીસ સક્રિય બની છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નવસારી પોલીસે છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 353 આરોપીઓનું 100 કલાકમાં સઘન વેરિફિકેશન હાથ ધર્યું છે. ગત 10/11/2025 ના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બોમ્બ વિસ્ફોટ દ્વારા આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર ઘટના બાદ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યમાં વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ સૂચના મુજબ, રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ અને સંપૂર્ણ ડેટા વેરિફિકેશન 100 કલાકમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, બનાવટી ચલણી નોટ અને એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ ફરીથી આવી પ્રવૃત્તિઓમાં ન જોડાય તે મુખ્ય હેતુ છે. આ કામગીરી માટે નવસારી પોલીસે વિશેષ ટીમો બનાવી હતી. એસ.ઓ.જી., એલ.સી.બી. અને જિલ્લાના પોલીસ સ્ટેશનોની કુલ 25 ટીમો દ્વારા 353 આરોપીઓનું સઘન ચેકિંગ અને વેરિફિકેશન કરવામાં આવ્યું. શંકાસ્પદ હિલચાલ જણાતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. વેરિફિકેશન હેઠળના કુલ 353 આરોપીઓમાં 188 નવસારી જિલ્લામાં રહેતા હતા, જ્યારે 102 આરોપીઓ નવસારી જિલ્લા બહારના અને 63 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના હતા. પોલીસે આ તમામ આરોપીઓની હિલચાલ પર નજર રાખીને 100 કલાકની સમય મર્યાદામાં વેરિફિકેશનનું કાર્ય પૂર્ણ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:38 pm

AAP નેતાની ટિપ્પણી સામે કોળી સેનાનો વિરોધ:બ્રિજરાજ સોલંકીએ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની મુલાકાતને રાજકીય ગણાવતા રોષ

બોટાદના રાણપુર ખાતે કોળી સેનાએ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા બ્રિજરાજ સોલંકીની ટિપ્પણી સામે વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની હડદડ મુલાકાતને રાજકીય ગણાવતી ટિપ્પણીના વિરોધમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં AAP નેતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. બે દિવસ અગાઉ AAP નેતા બ્રિજરાજ સોલંકીએ બોટાદના હડદડ ગામે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તેમણે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકી દ્વારા લેવાયેલી મુલાકાતને રાજકીય ગણાવી હતી, જેના કારણે કોળી સમાજમાં નારાજગી વ્યાપી હતી. બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિતના આગેવાનોએ આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની હડદડ મુલાકાત રાજકીય ન હતી, પરંતુ સમાજના પ્રમુખ તરીકે તેમણે પીડિતોની મુલાકાત લીધી હતી. કેશુભાઈ પંચાળા અને વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે બ્રિજેશ સોલંકી પોતાના રાજકીય સ્વાર્થ માટે પુરૂષોત્તમભાઈ સોલંકી અને હિરાભાઈ સોલંકી જેવા કોળી સમાજના મજબૂત નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે પુરૂષોત્તમભાઈ સોલંકી, હિરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકી વિરુદ્ધ ટિપ્પણી કરનારને માફ કરવામાં આવશે નહીં અને જરૂર પડ્યે કોળી સમાજ યોગ્ય જવાબ આપશે. આ પત્રકાર પરિષદમાં બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા, રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:35 pm

શિક્ષકોને BLO ફરજથી શિક્ષણ પર ગંભીર અસર!:પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ રજૂ કરી સુધારાત્મક પગલાં લેવા રજૂઆત

જામનગરના નગર પ્રાથમિક શિક્ષક સંઘે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને પ્રાથમિક શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજિયાત નિયુક્ત કરવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નગર પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું છે કે, આ પ્રથા શિક્ષણના અધિકાર કાયદા અને ભારતીય બંધારણ હેઠળ બાળકોના મૂળભૂત શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સંઘના અધ્યક્ષ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે, પરંતુ BLOની ફરજોને કારણે તેઓ તેમના મુખ્ય કાર્ય, એટલે કે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. વર્તમાન સઘન મતદાર યાદી પુનરાવર્તન પ્રોજેક્ટ દરમિયાન શિક્ષકોને દરરોજ 12 થી 15 કલાક કામ કરવું પડે છે, જે તેમના માટે અસહ્ય બોજ બની ગયો છે. સંઘ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં વર્ગખંડમાં થતો વિક્ષેપ સામેલ છે. મતદાર યાદી ચકાસણી અને સર્વેક્ષણ માટે શિક્ષકોને શાળાના સમય દરમિયાન વારંવાર ગેરહાજર રહેવું પડે છે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સીધો અવરોધ ઊભો થાય છે. આ ઉપરાંત, BLOની જવાબદારીઓ નિયમિત શાળા સમય પછી પણ ચાલુ રહે છે, જેના કારણે શિક્ષકોમાં શારીરિક થાક અને માનસિક તણાવ વધે છે. ખાસ કરીને મહિલા શિક્ષકો માટે સલામતીના પ્રશ્નો પણ ઊભા થાય છે, કારણ કે તેમને અજાણ્યા અને દૂરના વિસ્તારોમાં ફરજ બજાવવી પડે છે, જેનાથી સલામતી અને પરિવહનની ચિંતાઓ વધે છે. સંઘે કાયદાકીય વિરોધાભાસ અંગે પણ ધ્યાન દોર્યું છે કે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા ઓછામાં ઓછા શિક્ષકોની નિમણૂક કરવા પત્ર જારી કરાયો હોવા છતાં અને અન્ય 12 કેડર ઉપલબ્ધ હોવા છતાં, મોટાભાગની નિમણૂકો શિક્ષકોની જ કરવામાં આવે છે. સંઘે 2007માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સિવિલ અરજીમાં આપવામાં આવેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ચૂંટણી પંચને BLOની ફરજમાં શિક્ષકોની ઓછામાં ઓછી નિમણૂક કરવાનું સૂચન કરાયું હતું. આ ઉપરાંત, ત્રણ વર્ષ સુધી BLO તરીકે સતત સેવા આપ્યા પછી શિક્ષકોને મુક્ત કરવાની સ્થાયી સૂચના હોવા છતાં, ઘણા શિક્ષકોને ફરજ બજાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જે આ સૂચનાનો ભંગ છે. શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સંઘે ચૂંટણી પંચને કેટલાક સુધારાત્મક પગલાં સૂચવ્યા છે. જેમાં શાળાના શિક્ષકોને બદલે ફક્ત ચૂંટણી કાર્ય માટે પૂર્ણ-સમય અથવા કરાર આધારિત સમર્પિત BLO કર્મચારીઓની નિમણૂક કરવાનો સમાવેશ થાય છે. અન્ય વિભાગોનો ઉપયોગ કરવો જેમાં અન્ય સરકારી વિભાગો, નિવૃત્ત કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અથવા તાલીમ પામેલા બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરવો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ભૌતિક સર્વેક્ષણોની જરૂરિયાત ઘટાડવા માટે મતદાર ચકાસણીને ડિજિટલાઇઝ કરવા માટે એજન્સીઓની નિમણૂક કરવી. નગર પ્રાથમિક શિક્ષક સંઘે ભારતીય ચૂંટણી કમિશનરને આ મુદ્દાની ગંભીરતા સમજવા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી છે. આ રજૂઆત થી ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા અને રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને પણ માહિતગાર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:28 pm

પ્રાચીમાં આયુષ મેળો યોજાયો:'પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદ' થીમ સાથે આરોગ્ય જાગૃતિ

સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા 'પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદ'ના ધ્યેયમંત્ર સાથે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસી ચાવડા, આયુર્વેદ અધિકારી રાજુ ઓઠા, એસ.એમ.ઓ. ડો. વિજયસિંહ ગોહિલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાચીની કારડિયા સમાજની વાડી ખાતે આયોજિત આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો હતો. મેળામાં પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા, સુવર્ણપ્રાશન, યોગ, રસોડાની ઔષધિઓ અને આયુર્વેદિક વાનગીઓ સહિત કુલ 12 પ્રકારના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. વિનામૂલ્યે દવા વિતરણ અને આયુર્વેદ-હોમિયોપેથી ઓપીડી સેવાઓ મેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની હતી. આયુર્વેદ નિષ્ણાતો દ્વારા નાડી અને પ્રકૃતિ પરીક્ષણ કરીને વિવિધ ગામડાઓમાંથી આવેલા દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવામાં આવી હતી. જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પણ આપવામાં આવ્યા હતા. આયુર્વેદ અને હોમિયોપેથી ક્ષેત્રે શ્રેષ્ઠ સેવાઓ આપનાર પ્રભાસ પાટણ આયુષ હોસ્પિટલના ડો. નિલમબેન વાળા (આયુર્વેદ) અને ડારી હોસ્પિટલના ડો. સ્વાતિબેન સોલંકી (હોમિયોપેથી) ને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં 7 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના માટે રસોડાની ઔષધિઓ અને તેમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ મેળામાં ઉપસ્થિત રહી આયુર્વેદિક સારવાર અને જાણકારીનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 5:23 pm

ભરૂચમાં અરજી પ્રક્રિયા તેજ:કમોસમી વરસાદથી ખેડૂતો નુકસાન માટે રાહત પેકેજ અરજી પ્રક્રિયા તેજ

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ₹9,815 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર 14મી નવેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતના બે દિવસ ટેકનિકલ ખામીને કારણે પોર્ટલ બંધ રહ્યું હતું, પરંતુ હવે સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે 1.35 લાખ હેક્ટર, એટલે કે 33 ટકા વિસ્તારના પાકને નુકસાન થયું છે. જિલ્લામાં અંદાજે 1 લાખ ખેડૂતો અસરગ્રસ્ત હોવાનું મનાય છે. તેમના દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત સ્તરે પણ ઝડપી બનાવવામાં આવી છે. રાહત સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12ની નકલ, આધારકાર્ડ, તલાટી દ્વારા આપવામાં આવેલ વાવેતર દાખલો, બેન્ક પાસબુક અને મોબાઈલ નંબર જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ અરજી પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલશે. ઓનલાઈન અરજીઓની ચકાસણી પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:43 pm

ભુજમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન:કિસાન સંઘે રાહત પેકેજમાં સમાવેશ કરવા મામલતદારને રજૂઆત કરી

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. માવઠાથી ભુજ તાલુકામાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હોવા છતાં, સરકારના રાહત પેકેજમાંથી ભુજ તાલુકાને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. આ અંગે ભુજ તાલુકા કિસાન સંઘે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી, તાત્કાલિક રાહત પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરી છે. કિસાન સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગત તા. 27 સપ્ટેમ્બરથી સતત સાત દિવસ સુધી વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ખેતર અને વાડીના પાકોને મોટું નુકસાન થયું છે. જેમાં મગફળી, કપાસ, જુવાર, બાજરી, તેમજ બાગાયતી પાકો જેવા કે દાડમ, શાકભાજી અને પશુપાલન માટેના ચારાનો સમાવેશ થાય છે. અગાઉ સરકારનું ધ્યાન દોરવામાં આવતા, ગત સપ્તાહમાં નુકસાની માટેનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ પેકેજમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનો સમાવેશ ન કરાતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી, અહીંના ખેડૂતોને થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે તાત્કાલિક કૃષિ રાહત પેકેજમાં ભુજ તાલુકાનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે, તેવી માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. આ રજૂઆત વેળાએ ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ આહીર અને સહમંત્રી રવજીભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:32 pm

ગઢડાના અડતાળામાં પશુપાલકની ગાયનું મૃત્યુ:હિંદુ સંસ્કાર મુજબ વિધિવત રીતે અપાઈ સમાધિ

ગઢડા તાલુકાના અડતાળા ગામે પશુપાલકની ગાયનું મૃત્યુ થતાં તેને હિંદુ સંસ્કાર મુજબ વિધિવત સમાધિ આપવામાં આવી હતી. આ ઘટનામાં પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. છેલા સાટીયાએ આ ગાયને વર્ષો સુધી પરિવારના સભ્ય સમાન રાખી હતી. ગાયના મૃત્યુ બાદ તેમણે ગૌમાતાને સન્માન આપવા માટે સંપૂર્ણ વિધિવત રીત-રિવાજો સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન ગાયને ફૂલોની હાર પહેરાવવામાં આવી હતી. ધૂપ-દીવો પ્રગટાવી પ્રાર્થના સાથે તેને સમાધિ અપાઈ હતી. ગ્રામજનોના મતે, ગાય પ્રત્યેનું આ સન્માન ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને અપાતા સ્થાન અને સદ્ભાવનાનો સંદેશ આપે છે. આ ઘટના પશુઓ પ્રત્યે કરુણા અને દયાની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:29 pm

ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે હાઈકોર્ટમાં PIL:સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં અરજી ટ્રાન્સફર, 25 નવેમ્બરે સુનવણી હાથ ધરાશે; મૃતકોને વળતરની માંગ

‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે. જેને હાઇકોર્ટમાં PIL તરીકે દાખલ કરીને તેની ઉપર 25 નવેમ્બરે સુનવણી રાખી છે. જેમાં હાઇકોર્ટે અરજદારને GPCB, સ્ટેટ ફાયર સર્વિસ અને ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝને પક્ષકાર બનાવવા સૂચના આપી છે. પક્ષકારોને અરજીની એડવાન્સ કોપી આપવામાં આવશે. મૃતકોને 2 કરોડ અને ઈજાગ્રસ્તોને 50 લાખ વળતર ચૂકવવાની માગસુપ્રીમમાં થયેલી અરજીમાં મૃતકોને બે કરોડ અને ઇજાગ્રસ્તોને 50 લાખ રૂપિયાના વળતરની માગ કરાઇ હતી. આ દુર્ઘટના અંગે ડીસા રૂરલમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર એજન્સી જોડે કરાવવાની દાદ માંગવામાં આવી છે. એમાં પણ ગુજરાત રાજ્ય બહારના પોલીસ અધિકારીઓની ટીમ જોડે તપાસની રજૂઆત કરવામાં આવી છે. જેથી આવી દુર્ઘટનાઓમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓની ભૂમિકા બહાર આવી શકે. રાજ્યમાં ફાયર સેફ્ટી સહિતના સંબંધિત કાયદાઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદકોની ચકાસણી કરવાની માગ પણ અરજીમાં કરવામાં આવી છે. રાજ્યમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ, વપરાશ અને પરવાના સંદર્ભે યોગ્ય નિયમો બનાવવા અને એનું મોનિટરિંગ કરવાની દાદ પણ માંગવામાં આવી છે. કુંટુંબના 6 સભ્યોને ગુમાવનાર ચંદરસિંહે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા1 એપ્રિલ, 2025ના રોજ ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગમાં કુટુંબના છ સભ્યોને ગુમાવનાર ચંદરસિંહ નાયકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે 1 એપ્રિલ, 2025 ના રોજ ડીસા ખાતેની એક ફટકડાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભયાનક આગ લાગી હતી. જે સ્થળે છ વેરહાઉસ હતા. અરજદાર ત્યાં લેબર તરીકે કામ કરતો હતો અને એ મૂળ મધ્યપ્રદેશના દેવાસનો રહેવાસી છે. આ દુર્ઘટનામાં એના કુટુંબના છ સભ્યો મૃત્યુ પામ્યા હતા. તેથી તેની એવી માગ છે કે રાજ્ય સરકાર દ્વારા મૃતકોને 2 કરોડ અને ઇજાગ્રસ્તોને 50 લાખનું વળતર ચુકવવામાં આવે. 7 બાળકો સહિત 21 લોકોના મોત નિપજ્યા હતાઆ દુર્ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં બનેલી આગની હોનારત પૈકી એક છે. આ ઘટનામાં બ્લાસ્ટ એટલો ગોઝારો હતો કે સાત બાળકો સહિત 21 લોકો મૃત્યુ પામ્યા હતા. આ મોટાભાગના મધ્યપ્રદેશથી આવેલા મજૂરો હતા, જેઓ ટ્રેજડીનો ભોગ બન્યા હતા. આ વેરહાઉસના માલિકો ગેરકાયદેસર રીતે એટલે કે કોઇ પણ અધિકૃત મંજૂરી વિના ફટાકડાનું મોટાપાયે ઉત્પાદન કરતાં હતા. આ એકમો જોડે યોગ્ય પરવાના નહોતા. વેચાણની પરવાનગી, ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોની ઐસીતૈસી કરીને આ એકમો ધમધમતા હતા. વેરહાઉસના માલિકો જ કામ કરતાં મજૂરોને લઇ આવ્યા હતા અને તેમને મરવાના વાંકે ફેક્ટરીમાં કામ કરાવતાં હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:26 pm

ભુજના ગજોડમાં ગેરકાયદે ખનીજ ખનન ઝડપાયું:ફ્લાઈંગ સ્ક્વોડે એસ્કેવેટર, બે ડમ્પર જપ્ત કર્યા

કચ્છમાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે ભુજ અને મુંદ્રા તાલુકામાંથી ગેરકાયદે ખનન અને વહન કરતા કુલ 6 વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં બ્લેકટ્રેપ અને સાદી રેતી ખનીજની ચોરી ઝડપાઈ છે. તાજેતરમાં, 18 નવેમ્બર, 2025ના રોજ, ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ભુજ તાલુકાના ગજોડ સિમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. અહીં બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું. ટીમે સ્થળ પરથી એક એસ્કેવેટર મશીન અને બે ડમ્પર જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા વાહનોને ભુજ ખાતેના સરકારી ગોદામમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું વહન કરતું એક ડમ્પર પણ પકડવામાં આવ્યું હતું. આ ડમ્પરને જપ્ત કરીને મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. વહેલી સવારે, 19 નવેમ્બર, 2025ના રોજ, મિરઝાપર-ભુજ હાઈવે પરથી પણ ફ્લાઈંગ સ્ક્વોડે કાર્યવાહી કરી હતી. અહીં રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું વહન કરતા બે ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને ડમ્પરને પણ સિઝ કરીને ભુજ ખાતેના સરકારી ગોદામમાં કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:16 pm

એમ્કો એલિકોન શાળામાં ફાયર મોકડ્રિલ યોજાઈ:463 વિદ્યાર્થીઓ, 14 શિક્ષકોને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ

વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત એમ્કો એલિકોન પ્રાથમિક શાળામાં ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા યુવા પેઢીમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવાના હેતુથી આ તાલીમ યોજાઈ હતી. આ મોકડ્રિલમાં શાળાના કુલ 463 વિદ્યાર્થીઓ અને 14 શિક્ષકોને પ્રાથમિક ફાયર સેફ્ટીના ધોરણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ, સબ ફાયર ઓફિસર હિંમત ભૂરિયા, ફાયરમેન રઘુવીરસિંહ પઢિયાર અને કૃષ્ણરાજસિંહ રાઉલજીએ આ મોકડ્રિલનું સંચાલન કર્યું હતું. તાલીમ દરમિયાન, કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા સાધનોનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું. ફાયર ઇમરજન્સીના કિસ્સામાં અપનાવવાની પ્રાથમિક કાર્યવાહી વિશે વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફ્ટી અને કટોકટી પ્રતિભાવ અંગે વધુ માહિતગાર કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:16 pm

રાજકોટમાં ઓમ રેસ્ટોરન્ટમાં GSTની રેડ:રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળી, GSTના અધિકારીઓને માર મારવામાં આવ્યો

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન દારૂની બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન GST વિભાગના અધિકારીઓને માર મારવામાં આવ્યો છે. સમગ્ર રાત્રિ દરમિયાન દરોડાની કામગીરી કરવામાં આવી છે. દારૂ મળી આવતા ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માર મારવા મામલે અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, GST અધિકારી અંકિતકુમારે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેથી આ માહિતીને આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા ટીમ દ્વારા ઓમ રેસ્ટરોન્ટ પહોંચી હતી. અંકિતકુમારે ઓમ રેસ્ટોરન્ટમાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ચાર બોટલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ઓમ રેસ્ટોરન્ટમાં GST રેડની કાર્યવાહી કરવામાં આવી ત્યારે રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા બોલાચાલી કરી જતા રહ્યા હતા. રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:10 pm

ભુજ BSF કેમ્પમાં હિરક જયંતિની ઉજવણીનું રિહર્સલ:21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ સમારોહ યોજાશે

ભુજ નજીક હરીપર માર્ગ પર આવેલા 176 બટાલિયન BSF કેમ્પ ખાતે સીમા સુરક્ષા બળના 60મા સ્થાપના વર્ષની હિરક જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ સમારોહ યોજાશે. આ કાર્યક્રમનું રિહર્ષલ આજે યોજાયું હતું. આ પ્રસંગે જમ્મુથી ભુજ સુધીની BSFના મહિલા અને પુરુષ જવાનોની એકતા બાઇક રેલીનો સમાપન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. રિહર્ષલ દરમિયાન બે કલાક લાંબો ભવ્ય પરેડ સમારોહ યોજાયો હતો. સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કમાન્ડિંગ ઓફિસરે કમાન સંભાળી હતી. યુનિફોર્મમાં સજ્જ મોટી સંખ્યામાં જવાનોએ એકતાલથી પરેડ કરી હતી. આ પરેડમાં તાલીમબદ્ધ ઊંટ, ઘોડા અને શ્વાન પણ સામેલ કરાયા હતા. આ રિહર્ષલમાં દેશની તાકાત દર્શાવતા શસ્ત્ર સરંજામનું શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડમી ડ્રોન હુમલાનું નિદર્શન કરાયું હતું. રિહર્ષલ જોવા માટે મોટી સંખ્યામાં જવાનોના પરિજનો, શાળાના બાળકો અને વિવિધ વિંગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિસ્તબદ્ધ પરેડ ઉપરાંત, જવાનો દ્વારા શૌર્ય અને સાહસના પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન સામેના 'ઓપરેશન સિંધુ'માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાઈ હતી. BSFના 7 જવાનોએ 6 હજાર ફૂટની ઊંચાઈએથી પેરાગ્લાઈડિંગ કરીને કાર્યક્રમ સ્થળે સફળ ઉતરાણ કર્યું હતું. ડ્રોન શક્તિનું પણ વિવિધ રીતે પ્રદર્શન કરાયું હતું, જેમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા દુશ્મન દેશના ડ્રોનને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા બાઇક વિંગ દ્વારા સાહસિક કરતબો અને તાલીમબદ્ધ શ્વાન દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શનો પણ રજૂ કરાયા હતા, જેને ઉપસ્થિત જનસમુહે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. કાર્યક્રમના અંતે, ભુજની વિવિધ શાળા-કોલેજોના 160 વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબાના તાલે રાસ રજૂ કર્યો હતો. આ તમામ પ્રદર્શનો અને કાર્યક્રમો 21 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:10 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'યુનિટી માર્ચ':પાટણના નોરતાથી APMC સુધી પદયાત્રા યોજાઈ, હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા 'સરદાર@150 યુનિટી માર્ચ' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પદયાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા નોરતા, બોરસણ, અંબાજી નેળિયું અને ગોલ્ડન ચોકડી થઈને APMC પાટણ પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને સમાપન કરાયું હતું. નોરતા તળપદ ખાતેના કાર્યક્રમમાં એકતા અને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાનો હતો. આ યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પદયાત્રીઓએ 'એક ભારત, આત્મનિર્ભર ભારત' અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આઠ કિલોમીટર લાંબી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ યાત્રામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે સંત દોલતરામ બાપુ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, હુડકોના ચેરમેન કેસી પટેલ, APMC ચેરમેન સ્નેહલ પટેલ, ભાવેશભાઈ પટેલ, પાટણ પ્રાંત અધિકારી અને રમતગમત અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:08 pm

ભચાઉના સામખિયાળી તળાવમાં મગર દેખાયો, VIDEO:સ્થાનિકોમાં ભય ફેલાયો, ગ્રામ પંચાયતે લોકોને સાવચેત કર્યા

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના સામતસર તળાવમાં પ્રથમ વખત મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અંદાજિત પાંચથી છ ફૂટ લાંબો મગર તળાવ કિનારે સ્નાન કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે કેટલાક ઉત્સાહી લોકોએ મગરના દ્રશ્યોને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તળાવની આસપાસ દુકાનો હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે. ગ્રામ પંચાયત દ્વારા અજાણ લોકોને મગરથી સાવધ રાખવા સ્થાનિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. પંચાયતે તાત્કાલિક ધોરણે મગરની હાજરીની ખરાઈ કરી હતી. સામખિયાળીના સરપંચ જગદીશ મઢવીએ ગામના તળાવમાં મગર હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોને મગરથી સાવધાન રહેવા માટે જાહેરાત કરીને સૂચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને પશુઓને પાણી પીવડાવવા આવતા પશુપાલકોને પણ સોશિયલ મીડિયા અને આસપાસના લોકોને જાણ કરીને વાકેફ કરવામાં આવ્યા છે. મગર અંગેની માહિતી વન વિભાગને આપવામાં આવી છે અને યોગ્ય નિવારણ માટે રજૂઆત કરવામાં આવી હોવાનું સરપંચે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 4:01 pm

SIRનું ફોર્મ આપવા ગયેલી BLO મહિલાને કુતરું કરડ્યું:પાલડીની એક સોસાયટીમાં મતદાર યાદી ફોર્મ આપવા ગયા ને અચાનક કુતરાએ આવી બચકું ભર્યું, ઇન્જેક્શન લેવાની ફરજ પડી

અમદાવાદમાં કુતરા કરડવાના કિસ્સાઓ હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત શહેરના પાલડી વિસ્તારમાં BLO તરીકે કામ કરી રહેલા શિક્ષિકાને કૂતરું કરડવાની ઘટના બની છે. ચંદ્રનગર પાસે આવેલા પદ્માવતી નગર સોસાયટીમાં ફોર્મ વિતરણની કામગીરી માટે ગયા હતા ત્યારે અચાનક જ કૂતરું આવ્યું હતું અને સીધું તેમને થાપાના ભાગે કરડ્યું હતું. તાત્કાલિક તેઓને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેઓને રસી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કુતરા મામલે કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે મહિલા ચંદ્રનગરમાં આવેલી સોસાયટીમાં ફોર્મ આપવા ગયામળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં નીલમબેન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત અલગ અલગ સ્કૂલોમાં શિક્ષકો ફોર્મ વિતરણ માટે જઈ રહ્યા છે. પાલડી વિસ્તારમાં ચંદ્રનગર પાસે આવેલા પદ્માવતી નગર સોસાયટીમાં નીલમબેન 19 નવેમ્બરના રોજ સવારના સમયે ફોર્મ વિતરણ કરવા માટે ગયા હતા. અચાનક જ સોસાયટીનું એક કૂતરું આવ્યું ને બચકું ભરી ગયુંસોસાયટીમાં ફોર્મ આપવા માટે ગયા અને જ્યારે તેઓ ઉભા હતા ત્યારે અચાનક જ સોસાયટીનું એક કૂતરું આવ્યું હતું અને નીલમબેન સમજે તે પહેલા જ કુતરાએ તેમના થાપાના ભાગે બચકું ભરી દાંત બેસાડી દીધા હતા. નીલમબેને બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાને તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં રસી આપવા લઈ જવાયાદાંત બેસી ગયા હોવાના કારણે કૂતરું કરડવાથી રોગ ન થાય તેના માટે તેઓને તાત્કાલિક વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ધનુર અને કુતરાની રસી આપવામાં આવી હતી. પદ્માવતી નગર સોસાયટીમાં અગાઉ પણ બેથી ત્રણ લોકોને આ કૂતરું કરડ્યું છે. કુતરાના કારણે સ્થાનિક સોસાયટીના રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે હવે આ કુતરાને પકડવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:52 pm

પાટણ ઓવરબ્રિજ પર નોઇસ બેરિયર લગાવવાનું શરૂ:વાહન અવાજ, પ્રદૂષણ અને સુરક્ષા માટે 5 ફૂટ ઊંચા બેરિયર

પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ પરના ટી-આકારના નવા ઓવરબ્રિજ પર 'નોઇસ બેરિયર' લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પગલું ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનોના અવાજથી આસપાસના રહેણાંક અને વ્યાપારી સંકુલો તેમજ હોસ્પિટલોને થતા ઘોંઘાટ પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે લેવામાં આવ્યું છે. આ નોઇસ બેરિયર રેલવે ફાટકના ઉપરના છેડાથી લઈને યસ પ્લાઝા કોમ્પ્લેક્સના વળાંક સુધી લગાવવામાં આવી રહ્યા છે. આનાથી માત્ર ઘોંઘાટ જ નહીં, પરંતુ વાહનોની લાઇટથી થતા નુકસાનથી પણ રાહત મળશે. આ બેરિયર લગાવવાથી વાહનચાલકો દ્વારા ઓવરબ્રિજ પરથી કોઈ પણ વસ્તુ નીચે ફેંકવાની ઘટનાઓ અટકશે. તેનાથી આસપાસની હોસ્પિટલો, કોમ્પ્લેક્સ કે રાહદારીઓને સંભવિત નુકસાનથી બચાવી શકાશે. વળી, આ નોઇસ બેરિયર વાહનોને ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ જતા અટકાવવામાં પણ મદદરૂપ થશે. ઓવરબ્રિજના વળાંક પર 5 ફૂટ ઊંચી લોખંડની એંગલો લગાવીને નોઇસ બેરિયર ફીટ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં અંદાજે 300થી વધુ લોખંડની એંગલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:50 pm

ઢોર પાર્ટીની સતત બીજા દિવસે કાર્યવાહી:શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વધુ ત્રણ ગેરકાયદે ઢોરવાડા તોડી પડાયા, ચાર પશુઓ કબ્જે; 19 હજારથી વધુના દંડની વસૂલાત

વડોદરા શહેરમાં ગૌ પાલકો દ્વારા પશુઓને સાચવવાના ઇરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદે બનાવવામાં આવેલા ઢોર વાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ત્યારે આજે બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમે અનધિકૃત ઢોરવાડા સામે કાર્યવાહી કરતા ચાર પશુને કબ્જે લેવામાં આવ્યા હતા અને 19 હજાર રૂપિયાની પેનલ્ટી વસુલ કરી છે. પશુઓ જપ્ત કરવાની અને પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવીઆ અંગે ઈનચાર્જ ઢોર ડબ્બા પાર્ટીના અધિકારી ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, આજે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં અનધિકૃત ઢોરવાડા આવેલા છે ત્યાં પશુઓ જપ્ત કરવાની અને પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે તેઓને લાયસન્સ અને ટેગિન કરવા માટે જણાવવામાં આવે છે છતાં નથી કરતા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 19 હજાર પેનલ્ટી વસૂલવામાં આવીવધુમાં જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જવાહરનગર, વૃંદાવનનગર અને સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ઢોરવાડા ડિમોલેશન, પશુ જપ્ત અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ચાર જેટલા પશુઓ જપ્ત કરવામાં આવ્યા છે અને 19 હજાર પેનલ્ટી વસૂલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ ઢોર પાર્ટીની ટીમે શહેરના છાણી, સમા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી કાયમી ચાલુ રહે અને નિર્દોષ નાગરિકોના જીવ ન જાય તે મહત્વનું છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:46 pm

માર્કેટિંગ યાર્ડ પાસે નજીવી બાબતે હુમલો:તું અમારી બસ નો સમય કેમ બગાડે છે એમ કહી ડ્રાઇવર પર ત્રણ શખસોનો હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પર ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીએ લાકડી રાખીને પીડિતને રસ્તા વચ્ચે અટકાવ્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર ગઢડા તાલુકાના ગઢાળી ગામે રામજી મંદિર પાસે રહેતા અને ભાવનગર શહેરમાં આવેલ કાજલ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિજય બળવંતભાઈ ગોહિલ ઉંમર વર્ષ 46 એ પોલીસ સ્ટેશનમાં ખોડલ રાજ ટ્રાવેલ્સ વાળા ઘનશ્યામભાઈ સરવૈયાના પુત્ર છત્રપાલ ઉર્ફે સતુ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે તે કાજલ ટ્રાવેલ્સની બસ લઈને માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે આરોપી છત્રપાલ ઉર્ફે સતુ એ લાકડી રાખીને તેને રસ્તા વચ્ચે અટકાવ્યો હતો. તું અમારી બસનો સમય કેમ બગાડે છે? કહી માર માર્યોગાળાગાળી કરી છત્રપાલે વિજયને કહ્યું હતું કે, તું અમારી બસનો સમય કેમ બગાડે છે? તેમ કહી વિજયનો કાઠલો ઝાલી બસમાંથી નીચે ઉતારી લાકડી વડે હુમલો કર્યો હતો અને માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છત્રપાલની સાથે તેના બે મિત્રો પણ હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિજયને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સારવાર દરમિયાન તેણે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં છત્રપાલ ઉર્ફે સતુ ઘનશ્યામભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:45 pm

તેરા તુજકો અર્પણ:ઈન્ફોસિટી પોલીસની ત્વરિત કામગીરીથી ગુમ થયેલી બેગ ગણતરીના કલાકમાં યુવતીને પરત મળી

ગાંધીનગરની ઇન્ફોસિટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવતીનું કિંમતી બેગ ગુમ થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો પરંતુ, એક પ્રમાણિક નાગરિકની નિષ્ઠા અને ફરજ પર હાજર પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે બેગ સલામત રીતે તેના યુવતીને પરત મળી ગયું હતું. આ ઘટનાએ નાગરિક ધર્મ અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. પોલીસે તુરંત કાર્યવાહી કરીને માત્ર થોડા જ સમયમાં આ બેગ મૂળ માલિકને પરત અપાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ તુરંત બેગ શોધખોળ શરૂ કરી દીધી હતીગાંધીનગરમાં પ્રાંજલ પ્રકાશભાઈ મોરઝરિયાનું બેગ ગઈકાલે સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ ઇન્ફોસિટી વિસ્તારમાં કયાંક પડી ગયું હતું. ગભરાયેલા પ્રાંજલબેને તાત્કાલિક તે વિસ્તારમાં વાહન ચેકિંગની ફરજ બજાવી રહેલા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના PSI એ.આઈ. મૂળિયા, ASI રિમ્પલબેન રાજુસિંહ અને HH શેખ અરકાનનો સંપર્ક કર્યો હતો. પોલીસ ટીમે યુવતીની વાત સાંભળીને સમય બગાડ્યા વિના તુરંત બેગ શોધખોળ શરૂ કરી દીધી હતી. બેગ રસ્તા પરથી મળી આવ્યું છેત્યારે PSI એ.આઈ. મૂળિયાએ સૂઝબૂઝ વાપરીને પ્રાંજલબેનના નંબર પર કોલ કર્યો, જે ફોન એક પ્રમાણિક નાગરિક જનકભાઈ અમૃતભાઈ ઠાકોરએ રિસીવ કર્યો હતો. જનકભાઈએ જણાવ્યું કે, તેમને આ બેગ રસ્તા પરથી મળી આવ્યું છે અને તે તેમની પાસે સુરક્ષિત છે. જનકભાઈની પ્રમાણિકતાની માહિતી મળતાં જ પોલીસ ટીમ પ્રાંજલબેનને સાથે રાખીને તાત્કાલિક જનકભાઈ ઠાકોર પાસે પહોંચી ગઈ હતી. ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં જ પરત મળી ગયુંબાદમાં પોલીસના સંકલિત પ્રયાસોના પરિણામે પ્રાંજલબેનને તેમનું ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં જ પરત મળી ગયું હતું. બેગ સલામત પરત મળતાં પ્રાંજલબેન મોરઝરિયાએ જનકભાઈ અમૃતભાઈ ઠાકોરની નિષ્ઠા અને ઉમદા કામગીરી માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની ફરજ પરની ટીમને તેમની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ ધન્યવાદ આપ્યા હતા. પોલીસે આ ઘટનાને 'તેરા તુજકો અર્પણ'ના સકારાત્મક ભાવ સાથે પૂર્ણ કરી હતી.જે અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બની છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર.ખેરે જણાવ્યું હતું કે, નાગરિકો અને પોલીસ વચ્ચેના આવા સંકલનથી જ સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:38 pm

સૌરાષ્ટ્ર યુનિ.માં રણજી, IPL ના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓ રમશે:ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિ. વેસ્ટ ઝોન - ઓલ ઇન્ડિયા ગેમ્સની યજમાની મળી, બહેનોની વેસ્ટ ઝોનની હેન્ડબોલ સ્પર્ધા પણ યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3 નેશનલ ઇવેન્ટની યજમાની પ્રાપ્ત થઈ છે. જેમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી તો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા 7 થી 10 ફેબ્રુઆરીના રમાશે. જ્યારે બહેનોની હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની સ્પર્ધા 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેથી કહી શકાય કે દેશની ઇન્ટર યુનિવર્સિટીની આ સૌથી મોટી ઇવેન્ટમાં રમવા માટે રણજી તેમજ IPL માં રમી ચૂકેલા નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવશે. જેમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડશે ત્યારે આ ક્રિકેટ સ્પર્ધાનું સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટરના હસ્તે ઉદ્ઘાટન કરવાનું પણ આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ત્રણ સ્પોર્ટ્સની નેશનલ ઇવેન્ટની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગત વર્ષે હેન્ડબોલ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે આ વખતે હેન્ડ બોલ બહેનોની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાશે. જ્યારે ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા તો યોજાશે જ પરંતુ ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેજા હેઠળ યોજાનારી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ક્રિકેટ ભાઈઓમાં 70 અને હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારી અને ખાનગી મળી 70 યુનિવર્સિટીની એન્ટ્રી આવી ચૂકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યુ હતુ કે, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ સ્પર્ધાનું આયોજન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન સ્પર્ધા યોજાશે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં હેન્ડબોલ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. વેસ્ટ ઝોનની સ્પર્ધામાં ટોપ ચાર ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે રમશે આ ઉપરાંત તેમાં નોર્થ, સાઉથ અને ઇસ્ટ ઝોનની ટોપ ચાર ટીમ એમ કુલ 16 ટીમ ભાગ લેશે. જેમાં રણજી તેમજ IPL ના ક્રિકેટર રમતા જોવા મળશે. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ખેલાડીઓ વિજય હજારે ટ્રોફી માટે પસંદગી પામશે તો સાથે જ વર્લ્ડ યુનિવર્સીટી ગેમમાં પણ રમવાનો તેઓને મોકો મળશે. ટી - 20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર - 25 ના ખેલાડીઓ ભાગ લેવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારી નેશનલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરાંત રાજકોટના અન્ય પાંચ જેટલા મેદાનો રાખવામાં આવશે કે જ્યાં આ ઈવેન્ટ યોજાશે. સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન થાય અને તેનાથી અન્ય ખેલાડીઓ પ્રોત્સાહિત થાય તેવું યુનિવર્સિટીના સત્તાધીશોનું આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે તે માટે ક્રિકેટ અને હેન્ડ બોલમાં 30 દિવસનો કેમ્પ યોજવામાં આવશે. ઘર આંગણે સ્પર્ધા થઈ રહી છે ત્યારે રિઝલ્ટની અપેક્ષા છે. આ ઉપરાંત એથલેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી અને કબડ્ડી બહેનોની સ્પર્ધામાં મેડલ મળે તેવી અપેક્ષા છે. ગત વર્ષ કરતાં પણ આ વખતે ઓલ ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ ખુબ જ સારું પરફોર્મન્સ આપે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:35 pm

પાણી મામલે NSUIએ ગુજરાત યુનિ.માં માટલા ફોડ્યા, VIDEO:કુલપતિને ખાલી માટલા આપવાનો પ્રયાસ કર્યો, હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારે 6 પાણી ન મળતું હોય વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓને પાણી આપો પાણી આપો ના નારા સાથે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાણી આપવાની માંગ સાથે NSUIએ કેમ્પસમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી ના મળતું હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. કુલપતિએ બે મહિનામાં પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી આપતા NSUI ના કાર્યકર્તાઓએ ઉશ્કેરાયા હતા. કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી NSUI ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ હોસ્ટેલમાં પાણીની સમસ્યાને લઈને કુલપતિ લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારે 6 દરમિયાન પાણી ન મળતું હોવાની રજૂઆતગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી આપવામાં આવતું નથી. જેમાં કારણે વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી માટે વલખાં મારવા પડે છે. જેને લઈને 24 કલાક પાણી આપવાની માંગ સાથે NSUI દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ પાણી ભરેલા માટલા ફોડી દેખાવો કર્યો હતો. તેમજ માટલા લઈને NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ ઓફિસ પહોંચી ગયા હતા. ખાલી માટલા લઈ કુલપતિની ઓફિસમાં વિરોધ પ્રદર્શનયુનિવર્સિટી કેમ્પસમાં માટલા ફોડી NSUIના કાર્યકર્તાઓએ કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. 24 કલાક વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પૂરતું પાણી આપવાની માંગ કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિ દ્વારા બે મહિનામાં પૂરતા પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી આપતા NSUI ના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. તેમજ કુલપતિની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. જે દરમિયાન પોલીસ સાથે NSUIના કાર્યકર્તાઓની ઝપાઝપી પણ થઈ હતી. જેથી પોલીસે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને ઓફિસમાંથી બહાર કાઢ્યા હતા. છતાં પણ કેટલાક NSUIના કાર્યકર્તાઓએ ઓફિસમાં આવી વિરોધ કરતા કુલપતિએ ખુરશીમાંથી ઊભા થઈ મોઢું ફેરવી દીધું હતું. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું- વિક્રમસિંહ ગોહિલવિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પાણી આપવામાં આવતું નથી. જેથી પાણીની સમસ્યાને લઈને આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કુલપતિને શરમ આવવી જોઈએ કે બે મહિના પછી પાણી ચાલુ કરાવવાની વાતો કરે છે. શું ફૂલપતિ ના ઘરે એક દિવસ પાણી નહીં આવે તો કુલપતિ ચલાવી લેશે ? પીવાનો અને નાહવા માટેનું પાણી આપવામાં પણ કુલપતિ નિષ્ફળ ગયા છે. તેમજ ફૂલપતિ કરોડો રૂપિયા અન્ય જગ્યાએ વાપરવામાં વ્યસ્ત છે. જ્યાં સુધી પાણી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. જો પુલ પતિના ઘરે એક દિવસ પણ પાણી ન આવે તો પછી એસ્ટેટ વિભાગના અધિકારીઓને દોડતા કરી દે છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પાણીનો મળતો હોવાથી જોઈએ. થોડા સમયમાં 24 કલાક પાણીની વ્યવસ્થા કરાશે વર્ષોથી યુનિવર્સિટી કેમ્પસમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી ન અપાતું હોવાનો સ્વીકાર કરી કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, સમગ્ર કેમ્પસમાં આખી રાત પાણી બંધ હોય છે. મ્યુનિસિપલની પાણીની જે વ્યવસ્થા છે તે પ્રમાણે જ ટાંકીમાં પાણી રાખતા હોઈએ છીએ. બીજી ટાંકી માટે પરવાનગી લેવામાં આવી ગઈ છે. જેથી ત્યાં સુધી પાણીની વ્યવસ્થા જણાવવી પડે છે. શિયાળામાં ગરમ પાણી માટે સોલારના ઓર્ડર કરવામાં આવી ગયા છે. સોલર હીટર લાગે ત્યાં સુધી અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તગારામાં ગરમ કરીને પાણી આપવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ગીઝર રાખવામાં આવે તો નવા મીટર લગાવવા પડે. અમે ફી વધારવા માંગતા નથી જેથી વિદ્યાર્થીઓને ગીઝર રાખવા દેતા નથી. વિદ્યાર્થીઓ માટે 24 કલાક પાણીની જલદી વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:31 pm

ભાજપ દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ:કેન્દ્રિયગૃહ મંત્રી અને પ્રદેશ પ્રમુખ આવતીકાલે ભાવનગરમાં, જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રદેશ અધ્યક્ષનો યોજાશે અભિવાદન સમારોહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ભાવનગર આવી રહ્યા છે જેના આગમનને લઈ શહેર તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા ટુકડી ભાવનગર આવી પહોચી છે. જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. શહેરની નારી ચોકડી નજીક આવેલ નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્માણ પામેલ ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. ત્યારબાદ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. વિશાળ ડોમમાં 25 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી આવતીકાલના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ છે. નારી ચોકડી ખાતે વિશાળ સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અહી કાર્યક્રમ શરૂ થશે. આ જિલ્લા ભાજપ કાર્યાલય નજીક જાહેરસભા પણ યોજાશે. વિશાળ ડોમમાં 25 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં આવનાર લોકો માટે નારી ચોકડી નજીક સભા સ્થળથી દુર બે સ્થળોએ અલાયદી પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌપ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’નું ઉદ્ઘાટન બાદમાં સભા સ્થળે ખુલ્લી જીપમાં સવાર થઈ કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ અભિવાદન ઝીલશે અને સ્ટેજ પર પહોચશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી, રાજ્ય કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ઉમંગ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ સભા સ્થળ અને જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધીઆવતીકાલે ભાવનગર શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગમનને લઇ આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી સભાસ્થળ અને જિલ્લા કાર્યાલય ભાવ કમલમની મુલાકાત લીધી હતી.અને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના આગમન અંગે જણાવ્યું કે, ભાવનગર મુકામે અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ અમારા ભાજપના જગદીશ વિશ્વકર્મા અને જિલ્લાના પ્રમુખ આવતીકાલે આવી રહ્યા છે, તે લોકોની રાહ જોઈ રહ્યો છું અને સમગ્ર ગુજરાત નહીં પણ ભાવનગર જિલ્લાના તમામે તમામ આગેવાનો હાજર રહેવાના છે અને ભાવનગર જિલ્લાના અંદાજિત 25000 જેટલી મેદની થવાની છે એટલે બધાની માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજનો દિવસ અને આવતીકાલનો દિવસ સુખ શાંતિમય રીતે પસાર થાય એવી માતાજી અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું. કાર્યકર્તાઓ આવતીકાલે ઉત્સાહ સાથે કાર્યક્રમની અંદર હાજર રહેશેઆ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, આપ અહી સ્થળ પર જોઈ શકો છો કે કામની ખૂબ તડામારી તૈયારીઓ ચાલી રહી છે. અમારા નવ નિર્મિત કાર્યાલય ભાવ કમલમના ઉદ્ઘાટન પ્રસંગે આવતીકાલે 20 તારીખે બપોરે 3 કલાકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી નિમુબેન બાંભણિયા ,કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના વિશિષ્ટ આગેવાનોની ઉપસ્થિતિની અંદર 25,000 માનવમેદની સાથે કાલે કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે બુથ લેવલનો કાર્યકર જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય ત્યારે દરેક બુથના કાર્યકર્તાની અમારી સમિતિ બનતી હોય છે. આ કાર્યકર્તાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ કાર્યકર્તાની અંદર એક ભારે ઉત્સાહ છે અને એ આવતીકાલે એવા ઉત્સાહ સાથે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:27 pm

વેસુમાં બંગલાના હોમ થિયેટરમાં આગ લાગતા પરિવારમાં અફરાતફરી:સોફાને લીધે વધારે પ્રમાણમાં ઘુમાડો પ્રસર્યો, ફાયર બ્રિગેડના જવાનોએ માસ્ક પહેરી આગ કાબૂમાં લીધી, આગમાં સોફા, પીઓપી સહિતનો સામાન બળી ખાખ

સુરત શહેરના વેસુ યુનિવર્સીટી રોડ ખાતે આવેલા બંગલાના ચોથા માળે બનાવવામાં આવેલા થિયેટર રૂમની અંદર આજે આગ ભડકી ઉઠી હતી.જેને પગલે પરિવારના સભ્યો ઘબરાય ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ યુનિવર્સીટી રોડ ખાતે આવેલ શીતલ સોસાયટીમાં બંગલો નંબર 18માં હાર્દિકભાઈ શાહ રહે છે. બંગલાની અંદર ચોથા માળે હોમ થિયેટર બનાવવામાં આવ્યું હતું. દરમિયાન આજે ચોથા માળે આવેલા થિયેટર રૂમની અંદર આગ લાગી ગઈ હતી. એટલું જ નહીં આગને પગલે ઘુમાડો બહુજ વધારે પ્રમાણમાં ભરાય ગયો હતો, જયારે બંગલાની અંદર હાજર પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ અને મજુરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચો હતો અને આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે હોમ થિયેટરમાં જયારે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું.શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું અનુમાન છે,જોકે અંદર ત્રણ સોફા હતા. સોફામાં આગ પકડાતા ઘૂમાડો બહુજ વધારે પ્રમાણમાં ભરાય ગયો હતો.જોકે સમયસર આગને કંટ્રોલ કરી લેવામાં આવી હતી અને કોઈ જાનહાની નહીં થવા પામી હતી.પરંતુ આગને કારણે સોફા, પીઓપી અને વાયરિંગ બળી ગયું હતા.જોકે પરિવારના સભ્યો બંગલાની અંદર નીચે હાજર હતા અને તેઓ તમામ સુરક્ષિત હતા.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:27 pm

જામનગરમાં 'યુનિટી માર્ચ'નું આયોજન:યાત્રામાં હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા, વાતાવરણ દેશભક્તિમય બન્યું, ગરબાઓ અને રાસ રજુ કરાયા

જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને આ માર્ચ યોજાઈ હતી. ધુતારપરથી ધૂડશીયા ગામ સુધી યોજાયેલી આ પગપાળા યાત્રામાં સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. તેમને ભારત અને દુનિયાભરમાં 'સરદાર' અને તેમના દૃઢ મનોબળને કારણે 'લોખંડી પુરુષ' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા હતા. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એકજુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે તે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. આજુબાજુમાં પણ અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે, જે જોવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. યુનિટી માર્ચમાં સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આપણને 'એક ભારત, અખંડ ભારત'ની અમૂલ્ય ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે વિકસિત ભારતના નિર્માણમાં સૌ એકતા દાખવી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવે. આજની યુવા પેઢીએ સરદાર પટેલના કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. સાંસદે સરદાર પટેલના આદર્શોને જનજન સુધી પહોંચાડવા અને વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પણ અપીલ કરી હતી. યુનિટી માર્ચ દરમિયાન ધુતારપર, ધૂડશિયા તથા આજુબાજુના ગામના લોકો પદયાત્રામાં સહભાગી થયા હતા. યાત્રા દરમિયાન મહાનુભાવોએ સરદાર પટેલ તથા બી.આર.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવન પર આધારિત ગીતોના પરિણામે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. એકતા યાત્રામાં પોસ્ટર તેમજ તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાસમંડળીઓ દ્વારા ગરબાઓ અને રાસ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વિભાગના સ્ટોલનું પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા સ્ટોલ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજી પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણી ડો.વિનોદ ભંડેરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભરત બોરસદીયા, એપીએમસી ચેરમેન મુકુંદ સભાયા, એપીએમસી ડાયરેક્ટર પદુભા જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, અભિષેક પટવા, કાનજી પરમાર, સરપંચો, આગેવાનો, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા હરીદેવ ગઢવી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:26 pm

HNGUમાં 25 નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ:5 જિલ્લાના 180 કેન્દ્રો પર 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા નવેમ્બર-ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 25 નવેમ્બરથી શરૂ થશે, જેમાં 5 જિલ્લાના 180 કેન્દ્રો પર અંદાજિત 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં યુનિવર્સિટીની લગભગ 20 જેટલી પરીક્ષાઓ યોજાશે. તેમાં સ્નાતક કક્ષાની સેમિસ્ટર 3ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બી.એડ. અને એલ.એલ.બી.ના સેમિસ્ટર 3ની પરીક્ષાઓ પણ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્રો મોકલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ERP સિસ્ટમ દ્વારા ડિજિટલાઇઝ કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો હાર્ડ કોપીને બદલે ઓનલાઈન CRP સિસ્ટમથી એકસાથે મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Nov 2025 3:08 pm