સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણ હોસ્પિ.માં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતામળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હોટલના રૂમ નંબર આઠમાં ડોક્ટરે રાત્રિ રોકાણ કર્યુંગત 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા. જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હતો. હોટલના રૂમ નંબર આઠમાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે 8 નવેમ્બરના રોજ ચેક આઉટનો સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર ભાવેશ દ્વારા ચેક આઉટ કરવામાં આવ્યું નહોતું. સ્ટાફે દરવાજો ખખડાવતા રૂમનો દરવાજો ન ખોલ્યોડોક્ટર ભાવેશે ચેક આઉટ ન કરતાં હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે, કોલનો પણ કોઈ જવાબ આપવામાં ન આવતા રૂમ પર જઈને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ હોટલ ખાતે દોડી ગઈ હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હોટલનો દરવાજો ખોલતા ડોક્ટરનો મૃતદેહ મળ્યોપોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી આવી હતી. જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરે ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યોફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર ભાવેશ દ્વારા એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવ્યો હતો. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો. આ ઉપરાંત પોલીસને તબીબે મરતા પહેલાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખેલા મળ્યાસુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. એક ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખ્યા છે. એક પેજમાં પત્નીનું નામ ધારા લખ્યું હતું. બીજા પેજમાં માત્ર ન્યાય લખ્યું હતું. તો અન્ય એક પેજમાં બાળકનું ચિત્ર બનાવીને બાજુમાં ધારા લખ્યું છે. જેથી આ તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે. આપઘાતના બનાવ અંગે ગોડાદરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
મોરબી તાલુકા પોલીસે ગુંગણ ગામની સીમમાં આવેલી વીડીમાંથી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મેલડી માતાજીના મંદિર પાસે દેરાળા જવાના રસ્તા પર બાવળની કાંટમાં આવેલા વોંકળામાંથી 312 બોટલ વિદેશી દારૂ અને 120 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 3.49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી મુજબ, ગુંગણ ગામની સીમમાં વીડીમાં મેલડી માતાજીના મંદિર નજીક દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં આવેલા વોંકળામાં અરમાનભાઈ ઇકબાલભાઈ જુણેજા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો હતો અને ખાખી કલરના પુઠ્ઠાના બોક્સની હેરાફેરી કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી અરમાનભાઈ ઇકબાલભાઈ જુણેજા (રહે. ઉમા ટાઉનશીપની સામે, વેજીટેબલ રોડ, મફતીયાપરા, મોરબી) સ્થળ પર હાજર મળ્યો ન હતો. મોરબી તાલુકા પોલીસે તેની સામે નામજોગ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું. ઉંચી માંડલ નજીક કારની હડફેટે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું, જ્યારે બેલા ગામ પાસે એક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાનું અચાનક આંચકી આવતા નિધન થયું હતું. પ્રથમ બનાવમાં, મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી જયેશભાઈ મનસુખભાઈ ઝાલોડીયા (ઉં.વ. 37) પોતાના બાઈક (GJ 36 AH 7030) પર ઉંચી માંડલ પાસે આવેલી બાપા સીતારામ હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક કાર (GJ 3 HA 3244) ના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયેશભાઈને માથામાં અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાનના ભાઈ મેહુલભાઈ મનસુખભાઈ ઝાલોડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં, મોરબી નજીકના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (ઉં.વ. 22) નામની સગર્ભા પરિણીતાને શુક્રવારે સાંજે અચાનક આંચકી ઉપડી હતી. પૂજાબેનને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મૃત્યુ થયું હતું. મૃતક પૂજાબેનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેઓ સગર્ભા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ:પ્રથમ દિવસે પાંચમાંથી એક ખેડૂત મગફળી લઈને પહોંચ્યા
સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લામાં પણ ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે મોડાસાના નવા માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્ર ખાતે પણ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. સાબરડેરીના ડિરેક્ટર શામળ પટેલ, હિંમતનગરથી આવેલા અધિકારી પ્રકાશ પટેલ અને કેન્દ્રના ઇન્ચાર્જ ભાનું પટેલની હાજરીમાં આ ખરીદીનો શુભારંભ કરાયો. મોડાસા કેન્દ્રમાં પ્રથમ દિવસે કુલ પાંચ ખેડૂતોને મેસેજ કરાયા હતા, જેમાંથી એક ખેડૂત મગફળી લઈને આવ્યા હતા. અધિકારીઓ દ્વારા કંકુ તિલક કરીને વિધિપૂર્વક ખરીદ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૧૨ લાખ બારદાન તૈયાર રખાયા છે. ખરીદી પ્રક્રિયામાં બાયોમેટ્રિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે અને તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોના આધાર લિંકવાળા ખાતામાં સાત દિવસમાં પૈસા મળી જાય તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
વડોદરાના નવલખી મેદાનમાં યુવક અને મહિલા મિત્ર પાસે જઇને પોલીસકર્મીએ ફરજ પર ન હોવા છતાં દાદાગીરી કરી હતી અને યુવકને માર મારીને એક્ટિવા પણ સળગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કરમીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આજે વડોદરા પોલીસ સ્ટેશનમાં આવી છે અને નવલખી ગ્રાઉન્ડમાં 10પી જેટલા પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેકીંગ યાદ રહ્યું છે. એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ એ જણાવ્યું હતું કે, હાલમાં નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન-2, મંજીતા વણજારા અને એમની ટીમ સાથે, 100થી વધુ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ અને ડી-સ્ટાફના કર્મચારીઓ, સર્વેલન્સના અધિકારી, કર્મચારીઓ સાથે અવાવરું જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને અહીં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય, એને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ છે અને એ બાબતે હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને અંધારાવાળી વિસ્તારોમાં ટોર્ચ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે-સાથે વ્હીકલ ચેકીંગ હાથ ધર્યું છે અને બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થવાની શક્યતને ધ્યાનમાં રાખીને પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. બે પીધેલા બાઇક ઉપર ડ્રાઇવ કરતા મળી આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુઢેલા પાસે આવેલા એક ગામના 22 વર્ષીય યુવક નવાપુરા વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. નોકરી પર અવર જવર કરવા માટે ટ્રાવેલ્સ સંચાલક દ્વારા તેને બાઇક આપી છે. આ દરમિયાન 6 નવેમ્બરના રોજ યુવકે નોકરી પર છુટ્યા બાદ રાત્રીના પોણા 9 વાગ્યાના અરસામાં તેની મહિલા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેસીને વાતો કરી રહ્યો હતો. આ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિલેશ વનરાજ બારૈયા તેના બે ભાણિયા ભૌતિક ભીલ તથા ચતુર બારૈયા સાથે યુવક અને યુવતી પાસે ધસી ગયા હતા. ત્યારબાદ પોલીસવાળાએ યુવક પાસે ગાડીના લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટસની માગણી કરી હતી. પરંતુ યુવકની પોતાના ગાડી ન હોય તેની પાસે કોઇ કાગળીયા ન હતા. જેથી પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તેના બે ભાણિયાને મોકલી યુવક અને યુવતીને સમાધાન કરાવવાનું કહીને કૃત્રિમ તળાવ પાસે લઇ ગયો હતો, ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી ગભરાઇ બંને સોલર પેનલ પાસે ભાગી આવ્યા હતા, ત્યારે યુવતી ત્યાં ભાગી છુટી હતી. પરંતુ પોલીસવાળા નિલેશ બારૈયાએ તેના બે ભાણિયાને ફોન કરીને યુવક ભાગી ગયો છે, તેને પરત લઇને આવો, તેમ કહ્યું હતું. જેથી ભૌતિક અને ચુતર બારૈયા યુવકને સોલાર પેનલ પાસેથી લઇને કૃત્રિમ તળાવ પાસે ઝાડીઓમાં લઇ જઇને ડંડા વડે ત્રણ જણાએ તેને ઢોર માર માર્યો હતો. ગમે તેમ કરીને યુવક તેમના ચુંગાલમાંથી છુટીને ભાગી ગયો હતો. પોલીસ કર્મચારી અને તેના બે ભાણિયા રોષ ભરાયા અને તેની એકટીવાને આગ ચંપી કરી સળગાવી રૂ.20 હજારનું નુકસાન કર્યુ હતું.. જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજભાઈ બારૈયા, ભૌતિક ભીલ તથા ચતુર બારૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીર સોમનાથ સાયબર પોલીસે સાયબર ફ્રોડ દ્વારા એકત્ર કરાયેલી આશરે પોણા બે કરોડ રૂપિયાની રકમ વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પાંચ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાયબર પોલીસના પીઆઈ એસ.વી. રાજપૂતે આપેલી માહિતી મુજબ, તાલાલાના ઘુસિયા ગામના નકુલભાઈએ સુત્રાપાડા રહેતા તેમના મિત્ર નકુલબકાનાભાઈ રામને લોન લેવા માટે મદદ કરવા પોતાનું SBI બેંક ખાતું, ચેકબુક, ATM કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ આપ્યું હતું. થોડા દિવસો પછી, નકુલભાઈને તેમના બેંક ખાતામાં મોટી રકમની લેવડદેવડ અંગે બેંક તરફથી ઈમેલ મળ્યા. શંકા જતાં તેમણે જિલ્લા સાયબર પોલીસમાં અરજી કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે નકુલભાઈના ખાતામાં એક જ દિવસમાં આશરે ₹1.71 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે જાણીને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ખાતાધારક નકુલભાઈ અને તેમના મિત્ર નકુલબકાનાભાઈની પૂછપરછ કરતાં જૂનાગઢના ઉત્સવ ભરત સાગઠિયાનું નામ સામે આવ્યું, જે લોન અપાવવાના બહાને બેંક ખાતાની તમામ વિગતો લઈ ગયો હતો. ઉત્સવની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે વસીમ ઉમર શેખ (સાવરકુંડલા), હિતેશ કિશોર કીડિયા (બાબરા), આયુષ ભરત ડેર (લાઠી) અને ભટ્ટી મુબિન જીભાઈ (સાવરકુંડલા) સાથે મળીને આ કૌભાંડ આચર્યાનું કબૂલ્યું. આ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે બેંક પાસેથી આ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવામાં આવી તેની વિગતો માંગી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ કરોડોની રકમ સાયબર ક્રાઈમ દ્વારા એકત્ર કરાઈ હતી અને અનેક ખાતાઓ મારફત વિદેશ મોકલવામાં આવી રહી હતી. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
દાહોદ જિલ્લાના કતવારા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'ગુજરાત જોડો' જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હજારોની સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ટેન્ટ નાનો પડ્યો હતો અને ઘણા લોકો બહાર ઊભા રહીને સભા સાંભળી હતી. આ સભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાત AAP યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાએ આદિવાસી સમાજમાં AAPના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરીને કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાનો અને માતા-બહેનોનો આભાર માન્યો હતો. ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ઝાલોદના ડુંગરીમાં AAPની સભા પછી ભાજપના ધારાસભ્ય અને સાંસદે કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે, 'ચૈતરને કેમ લાવ્યા? તે આદિવાસીઓને જાગૃત કરે છે, જો જાગશે તો અમારી ખુરશી જશે.' સાંસદના 'ટાઈગર અભી જિંદા હૈ' વાક્યના જવાબમાં ચૈતર વસાવાએ કહ્યું કે 'ભાજપના સાંસદ સર્કસના ટાઈગર છે, ચાવી ભરો તો અવાજ નીકળે. જ્યારે AAPના કાર્યકર્તાઓ જંગલના ટાઈગર છે, સામનો થશે તો છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશું.' ગુજરાત AAP યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે 'હિંમત હોય તો ખેડૂતના દીકરાનો અવાજ બંધ કરો, પીઠ પર ડંડો મારો, ચૈતરને જેલમાં પૂરો. આ ગરીબ ખેડૂતો અને યુવાનોનો અવાજ છે, દેવું માફ ન થાય ત્યાં સુધી તે બંધ નહીં થાય.' દાહોદ જિલ્લામાં ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસની ટક્કર વચ્ચે AAP કોંગ્રેસને સાઈડલાઈન કરીને પોતાનો ગ્રોથ બતાવી રહી છે. આદિવાસી બહુલ જિલ્લામાં ભાજપનો ગઢ હોવા છતાં AAP અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ડેડીયાપાડામાં બિરસા મુંડાની 150મી જયંતી વડાપ્રધાનના હસ્તે યોજાવાની છે, તેને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે, 'ભાજપના કાર્યકર્તા નથી, બધા મારી સાથે છે. અફવા ફેલાવવામાં આવી હતી કે હું ભાજપમાં જોડાઉં છું, પણ ક્યારેય નહીં જોડાઉં, સમાજને હક્ક અપાવીશ.' કતવારા સભામાં ભાજપ, કોંગ્રેસ અને BTPના 100થી વધુ કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. આગામી સમયમાં ભાજપની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોષી (સમીપ જોષી) સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે, તો વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. માત્ર 35 વર્ષની ઉંમરે સેમ જોષીએ અમેરિકામાં ગુજરાતી મૂળના રાજકારણી તરીકે ઇતિહાસ રચ્યો છે, જ્યારે બીરલ પટેલે શિક્ષણ બોર્ડના પ્રમુખ તરીકેની સફળતા બાદ આ વિજય મેળવ્યો છે. બંનેએ ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. 14 વર્ષની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરીમૂળ શિવરાજપુર (હાલોલ તાલુકો)ના સેમ જોશી (ઉં.વ. 35) અમેરિકામાં જન્મેલા છે, પરંતુ તેમના માતા-પિતા પ્રદીપભાઈ અને બીનાબેન જોશી 40 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા. સેમે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને માત્ર 14 વર્ષની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ ત્રણ મેયર સાથે કામ કરી ચૂક્યા છે. 2018માં 27 વર્ષે કાઉન્સિલર, 2021માં 30 વર્ષે પહેલી વાર મેયર અને હવે 35 વર્ષે બીજી વાર મેયરપદ જીતીને તેમણે ઇતિહાસ રચ્યો છે. સેમ જોશીની વિદેશમાં રાજકીય સફળતાએ ગુજરાતનું નામ રોશન કર્યું અમેરિકાના એડિસન સિટીના મેયર બનેલા સમીપ જોશી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના 1500ની વસ્તી ધરાવતા શિવરાજપુરના વતની છે. આ પહેલા તેઓ એડિસનમાં કાઉન્સિલર પદે પણ રહી ચૂક્યા છે તેમજ વર્ષો સુધી વિવિધ સમિતિઓમાં પણ કાર્યરત હતા. આ સમાચાર મળતા જ શિવરાજપુર, હાલોલમાં રહેતા સમીપ જોશીના મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. સેમ જોશીની વિદેશમાં રાજકીય સફળતાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. અમારો દીકરો સતત બીજી વખત એડિસન સિટીનો મેયર બન્યો સેમ જોષીના પિતા પ્રદીપભાઈ જોષી અને માતા બીનાબેન જોષીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે મૂળ ડાકોરના વતની છીએ પરંતુ, મારા પિતાજીની નોકરી શિવરાજપુરમાં હોવાથી અમે શિવરાજપુરમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ થોડો સમય વડોદરામાં પણ રહ્યા હતા. અમારો દીકરો સતત બીજી વખત એડિસન સિટીનો મેયર બન્યો છે. અમને ભારતીય તરીકે એના પર પ્રાઉડ છે. અમને આજે ખૂબ જ ખુશી થઈ રહી છે. અહીં વસતા ભારતીય દ્વારા અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. NRI બીરલ પટેલે એડિસન ટાઉનશિપ કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી બીજી તરફ મૂળ વડોદરાના NRI બીરલ પટેલે એડિસન ટાઉનશિપ કાઉન્સિલની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેઓ મેયર સમિપ જોશી સાથે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તેઓ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા છે. સેમ જોશી અને બિરેન પટેલે જૂનની પ્રાઇમરી અને નવેમ્બરની જનરલ ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી છે. 2024માં બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતામૂળ વડોદરાના બિરલ પટેલ (ઉં.વ. 45) બરોડા હાઈસ્કૂલમાં ભણેલા છે. વર્ષ 1998માં તેઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે કમ્પ્યુટર સાયન્સમાં બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ ન્યૂ જર્સીમાં સ્થાયી થયા અને ત્યાંથી જાહેર સેવા તથા સમુદાય સાથેના તેમના કાર્યની શરૂઆત કરી હતી. તેઓ 2021માં તેઓ એડિસન બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ચૂંટાયા હતા અને તમામ ઉમેદવારોમાં તેઓએ સૌથી વધુ મતો મેળવ્યા હતા. શાળાઓ અને સમુદાય કાર્યક્રમોમાં સુધારો લાવવા માટેના તેમના પ્રયાસોને કારણે તેઓ 2024માં બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના ન્યુજર્સી સ્ટેટના એડિસન સિટીમાં 50 ટકા ભારતીયો વસે છે, જેને કારણે બે ગુજરાતીઓને ખૂબ સપોર્ટ મળ્યો અને તેઓએ અમેરિકાના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે અને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
ગોધરા શહેરમાં બિલાલ મસ્જિદ નજીક દીવાલ બનાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. 8 નવેમ્બર, 2025ના રોજ બનેલી આ ઘટનામાં પતિ-પત્ની સહિત અનેક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ સુલેમાન મોહમદ ઇન્દરજીએ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, બિલાલ મોહમદ મામજી અને શોએબ ઇબ્રાહીમ ઇન્દરજી તેમની જમીનમાં દીવાલ બનાવી રહ્યા હતા. સુલેમાને તેમને પોતાની માલિકીની જમીન છોડીને દીવાલ બનાવવાનું કહેતા તકરાર શરૂ થઈ. વાત વણસતા બિલાલ મોહમદ મામજીએ સુલેમાનને ગાળો બોલી અને લોખંડના પાવડા વડે તેમના કપાળમાં ડાબી બાજુ આંખ ઉપરના ભાગે હુમલો કર્યો. આ દરમિયાન શોએબ ઇબ્રાહીમ ઇન્દરજીએ સુલેમાનને પકડી રાખી શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાને કારણે સુલેમાન બેહોશ થઈ નીચે પડી ગયા અને તેમને ડાબા હાથની આંગળીઓ તેમજ કપાળના ભાગે ઈજા થઈ. સુલેમાનના બુમાબુમ કરતા તેમનો પુત્ર મુસ્તાક સુલેમાન ઇન્દ્રજી ત્યાં આવી પહોંચ્યો અને તેમને વધુ મારથી છોડાવ્યા. આરોપીઓ જતા જતા સુલેમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સુલેમાનને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ, સુમૈયા શોએબ ઇન્દરજીએ પણ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 8 નવેમ્બર, 2025ના રોજ તેમના પતિ શોએબ ઇબ્રાહીમ ઇન્દરજી, પિતા બિલાલ મોહમંદ મામજી અને પુત્રી હલીમા સાથે તેમની માલિકીની જમીનમાં મકાનનું કામ કરવા ગયા હતા. તેમણે અડધી દીવાલ બનાવી દીધી હતી. ત્યારે સુલેમાન મોહમદ ઇન્દ્રજી, મુસ્તાક સુલેમાન ઇન્દ્રજી, અહેમદ ઉલ્લા સુલેમાન ઇન્દ્રજી અને ઇમરાન સુલેમાન ઇન્દરજી ત્યાં આવ્યા હતા. આરોપીઓએ આવીને પૂછ્યું કે, 'તમે વારંવાર અહીં મકાનનું કામ કરવા કેમ આવો છો?' અને ગાળાગાળી શરૂ કરી દીધી. સુમૈયાબેને તેમને ગાળો બોલવાની ના પાડતા સુલેમાન મોહમદ ઇન્દ્રજી ઉશ્કેરાઈ ગયા અને તેમની પુત્રી હલીમાને ધક્કો મારી નીચે પાડી દીધી. ત્યારબાદ ઇમરાન સુલેમાન ઇન્દ્રજી, અહેમદ ઉલ્લા સુલેમાન ઇન્દ્રજી અને મુસ્તાક સુલેમાન ઇન્દ્રજી લાકડીઓ લઈને આવ્યા અને સુમૈયાબેનના પતિ શોએબ ઇબ્રાહીમ ઇન્દરજીને શરીરે લાકડીઓ વડે માર માર્યો. સુમૈયાબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો. આ ઝપાઝપી દરમિયાન તેમના બે મોબાઈલ ફોન નીચે પડી ગયા હતા. બુમાબુમ થતા સુલેમાન ઇશાક ઝભા ત્યાં આવી પહોંચ્યા અને તેમને વધુ મારથી છોડાવ્યા. જતા જતા ચારેય આરોપીઓએ ધમકી આપી હતી કે, 'હવે પછી જો તમે અહીં કામ કરવા આવ્યા છો તો તમને જાનથી મારી નાખીશું.' માર મારવાના કારણે શોએબ ઇબ્રાહીમ ઇન્દરજીને દુખાવો થતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાના દરૂણીયા ગામે એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ગોધરા શહેરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી શીતલબેન કનુભાઈએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત 8 નવેમ્બરના રોજ સાંજના સુમારે દરૂણીયા ગામે નાયક ફળિયામાં રહેતી 30 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરે ઝેરી દવા પી લીધી હતી. પોલીસે આ મામલે જાણવાજોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે એક આધેડ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા તાલુકાના વડેલાવ ગામે આવેલા પટેલ ફળિયામાં રહેતા ભારતસિંહ મગનસિંહ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 7 નવેમ્બરના રોજ રાત્રિના અરસામાં બોડીદ્રા ગામે રહેતા 38 વર્ષીય કૈલાશબેન રાજેશભાઈ બારીયાને કેવડિયા ગામ પાસે આવેલા ફાટક નજીક ડીવાઈડર પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા કૈલાશબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટકને રેલવે તંત્ર દ્વારા ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. આ ફાટક બંધ થવાથી રમણપાર્ક, પારસનગર, જીઆઈડીસી મીરાનગર સહિતના વિસ્તારોના હજારો લોકોને ભારે અગવડતા પડી રહી હતી, જેનો હવે ઉકેલ આવી ગયો છે. અગાઉ રેલવે તંત્ર દ્વારા આ ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડૉ. મનસુખ માંડવિયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. ડૉ. માંડવિયાએ સ્થાનિકોને ખાતરી આપી હતી અને આ અંગે રેલવે વિભાગને તાત્કાલિક સૂચનાઓ આપી હતી. ત્યારબાદ રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ રેલવે વિભાગને આ પ્રશ્નનો વહેલાસર ઉકેલ લાવવા જાણ કરી હતી. જિલ્લા ભાજપના આગેવાનોએ પણ આ બાબતે વિવિધ રજૂઆતો કરી હતી. આ તમામ પ્રયાસોના પરિણામે, આજે આ ફાટકને જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, શહેર મહામંત્રીઓ નિલેશ બાપોદરા અને નરેન્દ્ર કાણકિયા, પાર્ટીના આગેવાનો ગીગન બોખીરીયા, નિલેશ ઓડેદરા, વિજય વડુકાર, માલદે ઓડેદરા, સુરેશ સિકોતરા, ધર્મેશ પરમાર, તેમજ પૂર્વ કાઉન્સિલરો લક્ષમણ ઓડેદરા, મહેન્દ્રસિંહ ચાવડા, ચના પાંડાવદરા, રૂડા માલમ સહિત સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રેલવે તંત્રના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો ફાટક બંધ કરવાની જરૂર પડશે, તો લોકોને સાથે રાખીને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા પછી જ ફાટક બંધ કરવામાં આવશે. આ માહિતી પોરબંદર જિલ્લા મીડિયા સેલના સહ-કન્વીનર હર્ષ રૂઘાણી દ્વારા એક યાદીમાં જણાવાઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો તણાયા હતા. આ ઘટનામાં 6 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવતી લાપતા થઈ હતી. જોકે, બે દિવસ બાદ આદરી બીચથી તણાયેલી યુવતીનો મૃતદેહ 24.2 કિમી (15 નોટિકલ માઈલ) દૂર જૂનાગઢના માંગરોળ દરિયાકિનારેથી મળી આવ્યો છે. યુવતીના મૃતદેહને માછીમારોની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર-વધૂ સહિત આદરી દરિયામાં સાત લોકો તણાયા હતામાંગરોળ તાલુકાના ઢેલાણા ગામની એક યુવતી ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી. આ દરમિયાન યુવતી તેમજ વર-વધૂ સહિત સાતથી આઠ લોકો ફોટોશૂટ માટે આદરી બીચ ગયા હતા. અચાનક દરિયામાં આવેલા ઊંચા મોજામાં સાત લોકો તણાયા હતા. જોકે, સ્થાનિક તરવૈયાઓની મદદથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ઢેલાણા ગામની આ યુવતી દરિયાના પાણીમાં લાપતા થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને માછીમારો દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બે દિવસ બાદ માંગરોળના દરિયાકિનારેથી યુવતીનો મૃતદેહ મળ્યોછેલ્લા બે દિવસથી યુવતીની શોધખોળ ચાલી રહી હતી. આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી એક લાશ તરતી હોવાની જાણ માછીમારોને થઈ હતી. માછીમારોએ તાત્કાલિક આ લાશને તેમની બોટ દ્વારા દરિયામાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ યુવતીના મૃતદેહની ઓળખ કરવા અને કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ આદરીના દરિયામાં ગુમ થયેલી ઠેલાણા ગામની યુવતીનો હોવાની પુષ્ટિ થઈ હતી. આ પણ વાંચો:- પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત 7 લોકો દરિયામાં તણાયા યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયોઉલ્લેખનીય છે કે, આદરી દરિયાકિનારેથી ગુમ થયેલી યુવીતનો મૃતદેહ 24.2 કિમી (15 નોટિકલ માઈલ) દૂર જૂનાગઢના માંગરોળ દરિયાકિનારેથી મળી આવ્યો હતો. લગ્ન પ્રસંગના માહોલમાં બનેલી આ કરૂણ ઘટનાથી ઢેલાણા ગામ અને યુવતીના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ,3 માસનો ગર્ભ રાખી દેતા શખ્સની અટકાયત
રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુનિતનગર શેરી નંબર 10માં રહેતા હિતેશ વાઢેરનું નામ આપ્યુ છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2025 થી 8 નવેમ્બર, 2025 સુધીમાં લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ બોલાવી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને 3 માસનો ગર્ભ રાખી દીધો છે. જેથી તાલુકા પોલીસ મથકના PSI એ આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને PI હીરપરાના જણાવ્યા પ્રમાણે, આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. જે મજૂરી કામ કરે છે. આ શખ્સે લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રામવન પાસે બે બાઈક ધડાકાભેર અથડાતા એક બાઇક સળગી ઉઠ્યું, બંને યુવાનોને સારવારમાં ખસેડાયા શહેરના રામવન નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં રામનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 2 બાઈક ધડાકાભેર અથડાયા હતા. જે ઘટનામા એક બાઈક સળગી ઉઠ્યું હતુ. આ અકસ્માતમાં બંન્ને બાઇક સવાર યુવાનો ઘાયલ થયા હતા અને રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં નજરે પડે છે. જેથી તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં બાઇક સળગી ઉઠતા આસપાસના લોકો પણ ત્યાં એકત્ર થઈ ગયા હતા પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તું મને જોઈ બારી કેમ પછાડશ ? તેમ કહી 3 શખ્સોએ મહિલાને માર માર્યો શોભનાબેન શશીકાંતભાઇ રાઠોડ (ઉ.વ.47, રહે. આંબેડકરનગર શેરી નં.5, કાલાવડ રોડ) એ દિનેશ સોલંકી, કોમલબેન સોલંકી તથા જગદીશ સોલંકી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ઘરની બારી બંધ કરી રહ્યા હતા ત્યારે તું મને જોઇ કેમ બારી પછાડશ તેમ કહી કોમલબેને બોલાચાલી કરી હતી. જે બાદ મહિલા પતિ દિનેશભાઈ અને અન્ય શખ્સ જગદીશભાઇએ માર માર્યો હતો અને ઘરના કેમેરા તોડી નાખ્યા હતા જેથી તાલુકા પોલીસે માર મારતા શખ્સોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. PGVCL ના ટ્રાન્સફોર્મરમાંથી કોપર - એલ્યુમિનિયમના વાયરની ચોરી ભાવેશકુમાર વિનુભાઇ ખરાડી (ઉ.વ.40, હાલ અમી પાર્ક મેઇન રોડ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ. મુળ રહે- વાવોલ રોડ, ગાંધીનગર) એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ચોરીની ફરિયાદમાં અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે,13 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર દરમ્યાન ફરિયાદીની સરધારમાં સ્થિત પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં લગાવવામાં આવેલ અલગ અલગ વિજ પ્રવાહ માટેના ટ્રાન્સફોમરમાંથી રૂ.63,750 ની કિંમતના કોપર તથા એલ્યુમીનિયમના વાયરની ચોરી થઈ ગઈ છે. જેથી પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)ની સમાંતર સભા યોજાતા રાજકીય ગરમાવો આવ્યો છે. કવાંટ ગાયત્રી મંદિરના ચોગાનમાં યોજાયેલી ભાજપની સભામાં સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે AAP નેતા ચૈતર વસાવાનું નામ લીધા વિના કહ્યું કે, વસાવા અહીંયા બોર મોટરનું કામ પણ કરાવી નહીં શકે. કામ કોણ કરાવશે? રાઠવાએ શાનમાં સમજાવ્યુંધારાસભ્ય જયંતી રાઠવાએ પોતાના ભાષણમાં લોકોને પ્રશ્ન કર્યો હતો કે, પ્રથમ રજૂઆત તમે કોને કરો? તમારા ધારાસભ્ય, તમારા સરપંચને કરો છો, તાલુકાના સભ્યને કરો છો, જિલ્લા પંચાયતના સભ્યને કરો, તમારા લોકસભાના સભ્યને કરો, તો એનો નિવેડો આવે. અહીંયા જેનું લાગતું વળગતું નથી, જેના દ્વારા અહીંયા એક ઈંટ પણ મુકાય નહીં, તેની વાતો સાંભળવા માટે આથાડુંગરી બાજુ કરીને બેઠા છે. ત્યાં તમે જાઓ એ સારી વાત છે? 'ચૈતર વસાવા એકપણ કામ નહીં કરાવી શકે': ધારસભ્યનો દાવોરાઠવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમે કહેશો કે અમારે એક બોર મોટર જોઈએ છે, તો જશુભાઈ રાઠવા, જયંતીભાઈ રાઠવા હું પોતે, અમારું આ સન્માનનીય સ્ટેજ એ તમારો બોર મોટર કાલે મંજૂર કરી દેવાના છે. ચૈતર વસાવાને કહેજો કે તારે બોર મોટર આ ટ્રાઈબલ ઓફિસમાંથી દેવાનો છે, તો જાઓ, મેં તમને ગેરંટી આપું, એની ભલામણથી આ જિલ્લામાં એકપણ કામ થવાનું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, એ કામ કરવાની જવાબદારી અમારા સન્માનનીય સ્ટેજની છે. અને બધા જ સન્માનનીય આગેવાનો, કામ કરવાવાળા આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમે તમારી સાથે છીએ. ભાજપના આ નિવેદનથી કવાંટના રાજકારણમાં તણાવ વધ્યો છે.
વાસદ ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતી 18 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ છે. વાસદ પોલીસે ટ્રકના ચાલક અને ક્લિનરની અટકાયત કરી કુલ ₹15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આણંદમાં સામરખા ચોકડી તરફથી વાસદ ટોલનાકા થઈ વડોદરા તરફ જતી ટ્રકમાં પશુઓને બાંધીને લઈ જવાતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા વાસદ પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી ટ્રકને રોકી હતી. પોલીસે ટ્રક ચાલક શરીફભાઈ મઝરહુસૈન શેખ (રહે. સતલાસણ, મહેસાણા) અને ક્લિનર સલમાન ઝાકીરહુસૈન મન્સુરી (રહે. ખડીયાસણ, પાટણ) ને અટકમાં લીધા હતા. ટ્રકના પાછળના ભાગની તલાશી લેતા તેમાં 18 ભેંસો ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ ભેંસો માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહોતી. પશુઓ બાબતે પૂછપરછ કરતા ચાલક અને ક્લિનર સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેમજ પશુ હેરાફેરી માટેનો કોઈ દાખલો કે માલિકીનો લેખિત પુરાવો પણ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે ₹5,40,000 ની 18 ભેંસો, ₹10,00,000 ની ટ્રક અને ₹10,000 ના બે મોબાઈલ સહિત કુલ ₹15,50,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
176 બટાલિયન, બીએસએફ દ્વારા 21 નવેમ્બરે યોજાનાર 60મા બીએસએફ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, ભુજ સ્થિત સ્મૃતિ વન ખાતે બીએસએફ બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુન્દ્રા રોડ પરના કેમ્પમાં યોજાનારી મુખ્ય ઉજવણી પહેલા યોજાયો હતો. આ બેન્ડ શો 28 બીએસએફ મહિલા પ્રહારી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મહિલા પાઇપ બેન્ડે દેશભક્તિના સૂરો રજૂ કર્યા હતા, જે દળની શિસ્ત અને સમર્પણને દર્શાવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બીએસએફ સ્થાપના દિવસ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને દળના ગૌરવશાળી ઇતિહાસ તથા પરંપરાઓને ઉજાગર કરવાનો હતો. આગામી 21 નવેમ્બરના રોજ યોજાનાર 60મા બીએસએફ સ્થાપના દિવસ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
શહેરમાં નિર્ણયનગર સેક્ટર-4માં આવેલા બી. એસ.કુંદન આર્ટ નામના કારખાનામાં ચોરીની ઘટના બની છે. જડતરનું કામ કરવા માટે આપેલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. કારખામાં કામ કરતા નરેન્દ્રસિંહ વેદ નામના કર્મચારીએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સંબંધીને સ્ટેશન પર મુકવા જવાનું કહી પરત ન આવતા મેનેજરને શક ગયો હતો. જે બાદ દાગીના મૂકવાની પેટીમાં તપાસ કરતા 13 લાખથી વધુની કિંમતના દાગીના મળી આવ્યા નહતા. જેથી માલિકે કર્મચારી નરેન્દ્રસિંગ વેદ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 20 જેટલા કારીગરોને નોકરી પર રાખવામાં આવ્યા છેભવાનીશંકર સોની નામના વ્યક્તિ નિર્ણયનગર સેક્ટર 4માં બી. એસ.કુંદન આર્ટ નામનું કારખાનું ચલાવી સોનાના દાગીનાનું મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. સોના દાગીનાના જડતરનું કામ કરવા માટે 20 જેટલા કારીગરોને નોકરી પર રાખવામાં આવ્યા છે. તમામ કારીગરો રાજસ્થાનના હોવાથી કારખાનામાં જ રહેતા હોય છે. જોકે અત્યારે મોટાભાગના કારીગરો દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતન ગયેલા છે. સપ્ટેમ્બર 2025માં નરેન્દ્રસિંગ વેદ નામના વ્યક્તિને પણ નોકરી માટે રાખવામાં આવ્યો હતો. તમામ કારીગરોને એક-એક લોખંડની પેટી પણ આપવામાં આવી છે. જે પેટીમાં કારીગરને જે કંઈ પણ સોનાના દાગીનાનું જડતરનું કામ સોંપવામાં આવે તે દાગીના કારીગર પોતાની પેટીમાં રાખતા હોય છે. કામ કરવા માટે તેમાંથી દાગીના ગાડી કામ કર્યા બાદ દાગીના પેટીમાં મૂકી દેતા હોય છે તેમજ પેટીની ચાવી પણ કારીગર પાસે જ રહેતી હોય છે. સંબંધીને સ્ટેશનથી લઈને આવું કહીને કારીગર કારખાનામાંથી નીકળી ગયોજોકે, ગત 6 તારીખે રાત્રે 8.00 વાગ્યા આસપાસ નરેન્દ્રસિંગ વેદને સોનાના નેકલેસના સેટ પર જડતરનું કામ કરવા માટે એક સોનાનો નેકલેસ અને બે સોનાની કાનની બુટ્ટી અને એક સોનાની લગડી આપવામાં આવી હતી. જે કામ પૂરું કરી નરેન્દ્રસિંગે દાગીનાનું જડતર કામ કરી તેને પેટીમાં મૂકી દીધેલા હતા. જે બાદ સવારે નરેન્દ્રસિંગ વેદે સંબંધીને સ્ટેશનથી લઈને આવું છું કહીને કારખાનામાંથી નીકળી ગયો હતો. પરંતુ મોડા સુધી પરત ન આવતા મેનેજરે તેના મોબાઈલ પર ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. માલિકે મેનેજરને પેટી ચેક કરતા ચોરી થયાની જાણ થઈજેથી શંકા જતા માલિકે મેનેજરને પેટી ચેક કરવાનું કહ્યું હતું. મેને જ્યારે તરત જ પેટીનું લોક તોડી ખોલીને જોતા સોનાના દાગીના ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તમામ લોકોએ કારીગર નરેન્દ્રસિંગ વેદની તપાસ કરતા ક્યાંય પણ મળી આવ્યો નહતો. જે બાદ માલિકે સોનાનો નેકલેસ, બે સોનાની કાનની બુટ્ટી, સોનાની લગડીને ચોરી થઈ હોવાની પોલીસે ફરિયાદ નોંધાવી છે. નરેન્દ્રસિંગ વેદના નામના કારીગરે 13 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત છે પરંતુ, શહેરમાં ઠેર-ઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો દારૂ પીને પોલીસ કમ્પાઉન્ડમાં ધતિંગ કરતા હોય છે. આવો વધુ એક કિસ્સો શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં બન્યો છે. પોલીસ કમ્પાઉન્ડમાં જ બે શખ્સોએ પીધેલી હાલતમાં બોલાચાલી કરીઅમદાવાદમાં શનિવારે મોડી રાત્રે પાલડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ પોલીસની સામે બે શખસો દારૂ પીધેલી હાલતમાં ઝઘડો કરતા હોવાની ઘટના બની છે. પોલીસ કમ્પાઉન્ડમાં જ બે શખ્સ દારૂ પીધેલી હાલતમાં પોલીસની સામે બોલાચાલી કરી રહ્યા હતા. પોલીસકર્મી અને મહિલાની હાજરીમાં જેમ ફાવે તેમ બોલી રહ્યા હતા. ઝઘડા બાબતે પોલીસ કંટ્રોલરૂમનો મેસેજ થયો હતો અને ત્યારબાદ આ બંને સમક્ષ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં બોલાચાલી કરતા હતા. આ સમગ્ર બાબત અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ત્યારબાદ પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર PTC પાસ કરેલા ઉમેદવારોને જ આ પરીક્ષા આપવા પાત્રતા હતી, પરંતુ હવે આ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગના આ નિર્ણયથી રાજ્યભરના આશરે 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. સાથે જ, TET-1 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બરથી વધારીને 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ ઉમેદવારોને અરજી કરવાની તક મળી શકે. વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણયશિક્ષણ વિભાગના સૂત્રો મુજબ, લાંબા સમયથી PTCના અભ્યાસકર્તાઓ સતત માંગ કરી રહ્યા હતા કે તેઓને અભ્યાસ દરમિયાન જ TET-1 આપવા મંજૂરી આપવામાં આવે. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ સરકારે નિર્ણય કર્યો છે કે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો હવે શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) માટે અરજી કરી શકશે. જૂના નિયમો મુજબ ઉમેદવારને PTC કોર્સ પૂર્ણ કર્યા પછી જ TET-1 માટે પાત્ર ગણાતા હતા, જેના કારણે ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે લાંબો સમય રાહ જોવી પડતી. નવા નિયમ બાદ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન જ પરીક્ષા આપી શકશે, જેનાથી તેઓનો કિંમતી સમય બચશે અને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે. ફોર્મ ભરવાની મુદતમાં વધારોTET-1 માટે ફોર્મ ભરવાની તારીખ વધારવાની જાહેરાત પણ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સમાન છે. અગાઉની અંતિમ તારીખ 12 નવેમ્બર હતી, જેને હવે 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની તક મળશે, જેઓ સમયસર અરજી ન કરી શક્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ની 'સલામત સવારી એસટી અમારી'ના દાવાઓ વચ્ચે મહેસાણા જિલ્લામાં બહુચરાજી ડેપોની એસ.ટી. બસ ખોટકાઈ પડવાનો કિસ્સો સામે આવ્યો છે. બહુચરાજીથી મહેસાણા જઈ રહેલી એક એસ.ટી. બસ બહુચરાજી-શંખલપુર રોડ ઉપર આવેલા રેલવે અંડરપાસમાં અચાનક બંધ પડી જતાં તેમાં સવાર 50થી વધારે મુસાફરો અટવાઈ પડ્યા હતા. બસ બગડી જતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતોબસ અંડરપાસમાં બંધ પડી જવાથી રોડનો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી. એસ.ટી. બસની ટેક્નિકલ ખામીને લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ રઝળી પડ્યા હતા. 'સલામત સવારી'ના બણગા ફૂંકતા એસટી નિગમની વધુ એક બસ બગડી જતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બસની વ્યવસ્થા કરતા મુસાફરોને રાહત મળીસરકારી બસ રોડ વચ્ચે બંધ પડી જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા. જેમાં નાના બાળકોથી લઈ મોટેરાઓ રોડ પર સામાન લઈ ઉભેલા તો નાના બાળકો અને મહિલાઓ રોડ નીચે બેસેલી જોવા મળી હતી. જોકે, બાદમાં બીજી બસની વ્યવસ્થા કરવામાં આવતા મુસાફરોને રાહત મળી હતી.
રાજકોટ શહેરમાં બેફામ દોડતી હોન્ડા સિટી કારે એક્ટિવા પર જતા માતા-પુત્રીને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 15 વર્ષીય તરૂણીનું મોત નિપજ્યું છે. 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂલેથી પોતાની 15 વર્ષની દીકરીને એક્ટિવામાં લઈ જતી માતાને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં માતાને બંને હાથે અને પાંસળીમાં તો પુત્રીને માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેમાં ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માતા-પુત્રી એક્ટિવાર પર ફોઈના ઘરે જતા હતાશહેરના જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઈના પત્ની દર્શનાબેન કોટેચા (ઉ.વ. 45, રહે. પ્રહલાદ પ્લોટ, રાજકોટ)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કાર નંબર GJ03JR1459 હોન્ડા સિટી કારચાલક મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ગત તા. 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યાની આસપાસ પોતાના સસરાની માલિકીનું એક્ટિવા (ન. GJ03DJ7002) પોતાની 15 વર્ષની દીકરી ધ્રુવીને સ્કૂલેથી તેડીને પોતાના ફોઈના ઘરે ભાઈબીજના જમણવાર માટે આમ્રપાલી મેઇન રોડ ઉપર જવા નીકળ્યા હતા. યુનિવર્સિટી રોડ પર એચ.પી પેટ્રોલ પંપની સામે સિગ્નલ પહેલાં શાંતી હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં સિગ્નલ હોવાથી વાહન ધીમું ચલાવીને જતા હતા. પાછળથી આવતી કારચાલક મહિલાએ બંનેને અડફેટે લીધાઆ દરમિયાન પાછળથી આવતી GJ03JR1459 નંબરની હોન્ડા સિટી કારચાલક મહિલાએ પોતાની કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી અને બેફીકરાઈથી કાર ચલાવી માતા-પુત્રીને અડફેટે લીધા હતા. જેને લીધે માતા દર્શનાબેનને બંને હાથ અને પાંસળી તેમજ શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે દીકરી ધ્રુવીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ધ્રુવી કોટેચાનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી પોલીસે કારચાલક મહિલાને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લાના વડિયા ખાતે રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે તાલુકા હોમગાર્ડઝ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અને નિવૃત્ત થયેલા હોમગાર્ડઝ જવાનોનું બહુમાન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, મંત્રી વેકરીયાએ ફરજ પરના હોમગાર્ડ અધિકારીઓ અને જવાનોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેમને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરીને તેમની સેવાઓને યાદ કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમગાર્ડના જવાનોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત કાર્યરત રહે છે. વિકટ અને આપત્તિની સ્થિતિમાં, ખાસ કરીને રાત્રિના સમયે, હોમગાર્ડના જવાનો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. તેમણે આ કચેરી હેઠળ ફરજ બજાવતા 27 હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારોને તેમના ત્યાગ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ શુભકામનાઓ પાઠવી હતી. હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ કાર્યક્રમના પ્રારંભે રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આશરે રૂ. 8 લાખના ખર્ચે રિનોવેટ થયેલી આ નવી કચેરી હોમગાર્ડ જવાનોની વહીવટી કામગીરી સહિતની સુવિધાઓમાં વધારો કરશે, તેવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદનો સૌથી આઇકોનિક રોડ એટલે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા PPP ધોરણે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે. ઇન્દિરા બ્રિજ સર્કલથી નોબલનગર તરફ જવાના રોડ પર 200 મીટર સુધી પણ આઇકોનિક રોડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ઇન્દિરા બ્રિજ સર્કલથી 50 મીટર દૂર રોડ ડેવલોપમેન્ટ કરનાર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા વિશાળ લોખંડનું હોડિંગ્સ માટેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આ સ્ટ્રક્ચરના પાયાની આજુબાજુ ચણતર કરવામાં આવ્યું છે, તેમાં તિરાડ પડેલી જોવા મળી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેગ કરી જાણ કરવામાં આવી છે. અધિકારીએ એન્જિનિયરને ઘટનાસ્થળ પર મોકલી તપાસ કરવા જણાવ્યુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ વીડિયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે. આ બાબતે હાલ એન્જિનિયરને સ્થળ પર મોકલી અને તપાસ કરવા જણાવ્યું છે. વીડિયો જોતા સ્ટ્રક્ચરમાં વધારે કોઈ ખામી ન હોય એવું લાગે છે તેમછતાં પણ એન્જિનિયરને હાલ સ્થળ પર મોકલીને તાત્કાલિક તપાસ કરવા માટેની સૂચના આપી છે.
ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ પેકેજને આવકાર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલું આ પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું સહાય પેકેજ છે. આ જાહેરાતથી કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોમાં ફરી બેઠા થવાની આશા જાગી છે. રાજ્યભરમાં ખેડૂતો, સહકારી આગેવાનો અને જનપ્રતિનિધિઓમાં આ નિર્ણયને લઈને સંતોષનો માહોલ છે. ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે, અપેક્ષા કરતાં પણ વધુ રૂ. 10 હજાર કરોડની માતબર રકમનું પેકેજ સંવેદનશીલ સરકારે જાહેર કરી ખેડૂતોના પડખે ઊભી રહી છે. સહકારી આગેવાન જીવા આહિરે પણ જણાવ્યું કે, અતિવૃષ્ટિનો કારમો ઘા ખેડૂતો સહન કરી શકે તેમ ન હતા, પરંતુ આફતના સમયે રાજ્ય સરકારે ખેડૂતોને ફરી બેઠા કર્યા છે. ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા ડાંગર, નાગલી, જુવાર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું હતું. આના પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની હતી અને તેઓ હતાશામાં ગરકાવ થયા હતા. રાજ્ય સરકારે ખેડૂતોની વ્હારે આવી તાત્કાલિક રાહત આપવા માટે ગામેગામ પંચ રોજકામ સર્વે કરાવ્યો હતો. આ સર્વેના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ આ સહાય પેકેજ તૈયાર કર્યું. આ પેકેજનો ઉદ્દેશ્ય ખેડૂતોને ફરી પગભર કરવાનો અને તેમની આખા વર્ષની મહેનત પાણીમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે. ધારાસભ્ય અરવિંદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે 31ઓક્ટોબર, 2025થી 09 નવેમ્બર, 2025 દરમિયાન યોજાયેલા વેસ્ટ ઝોન પ્રિ-રિપબ્લિક ડે (R.D.) કેમ્પનો સમાપન કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કેમ્પમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાંથી કુલ 200 સ્વયંસેવકો અને 10 પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં પસંદગી પામેલા સ્વયંસેવકો 26 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય પરેડમાં વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. બી.બી. રામાનુજે જણાવ્યું હતું કે, એનએસએસ (NSS) થકી વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરીને આપણે સૌ સાથે મળીને 2047 નું ભારત વિકસિત ભારત બનાવીએ. HNGUના કુલપતિ ડો. કે.સી. પોરીયાએ આવા કૅમ્પોના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, આવા કૅમ્પો થકી વિદ્યાર્થીઓમાં અનુશાસનનું નિર્માણ થતું હોય છે. એન.એસ.એસ.ના પ્રાદેશિક નિયામક ડો. કમલકુમારે 10 દિવસના કેમ્પનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કેમ્પની એક મહત્વની ઉપલબ્ધિ જણાવતા કહ્યું કે, આ કેમ્પ એ વાતનો પુરાવો છે કે વિદ્યાર્થીઓ મોબાઈલ વગર પણ રહી શકે છે. કેમ્પના છેલ્લા દિવસે તમામ વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ તપાસવામાં આવ્યો હતો. જેમાં 80% વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ સરેરાશ 2 કલાકથી ઓછો નોંધાયો હતો. એક વિદ્યાર્થીનો સ્ક્રીન ટાઈમ સરેરાશ માત્ર 8 મિનિટ જ રહ્યો હતો. એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કરે વિદ્યાર્થીઓને કેમ્પમાં મેળવેલા શિક્ષણનો લાભ વ્યક્તિગત જીવન, યુનિવર્સિટી અને દેશને કેવી રીતે મળી શકે તે દિશામાં વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પ્રાદેશિક કચેરી, અમદાવાદથી ઉપસ્થિત રીટાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ બિનવારસી હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ 25 વર્ષ પહેલાં ઘર છોડીને ગુમ થયેલા શૈલેન્દ્ર પંચાલ તરીકે થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. યુવક 25 વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયો હતો અને મર્યા બાદ પરિવારને મળતા માતા દુ:ખી થઈ ગયા હતા અને હોસ્પિટલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં લખેલા સરનામાના આધારે આ દુઃખદ ઘટના સામે આવી હતી. દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ મૃતદેહ મળ્યોવડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડો. હિતેશ રાઠોડે મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં મૃતકના ઘરનું સરનામું લખેલું હતું. ડો. રાઠોડે આ માહિતી તુરંત ગોરવા પોલીસને આપી હતી. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે સરનામુ મળ્યુંઆ કડીના આધારે ગોરવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે સરનામાના આધારે પરિવારને શોધી કાઢ્યો અને તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક 25 વર્ષથી ગુમ થયેલા શૈલેન્દ્રભાઈ પંચાલ છે. પરિવારે મૃતદેહની ઓળખ પુત્ર તરીકે કરી હતી. જ્યારે પોલીસે પરિવારને આ બનાવની જાણ કરી, ત્યારે માતા ધર્મિષ્ઠાબેન અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વર્ષોથી ગુમ થયેલો દીકરો પાછો મળ્યો, પરંતુ તે મૃત હાલતમાં મળ્યો. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હોસ્પિટલમાં જઈને મારા દીકરાની લાશને જોઈમૃતક શૈલેન્દ્રના માતા ધર્મિષ્ઠાબેન પંચાલે જણાવ્યું હતું કે, મારો દીકરો વર્ષો પહેલા ખાનગી કંપનીમાં નોકરી માટે ગયો હતો. જોકે,નોકરી પરથી તે ઘરે પરત આવ્યો નહોતો. ત્યારબાદ અમે તેની ખૂબ જ શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આ દરમિયાન અમને મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસ અમારા ઘરે આવી હતી અને મેં હોસ્પિટલમાં જઈને મારા દીકરાની લાશને ઓળખી બતાવી હતી. તે મારો છોકરો જ હતો. યુવક 25 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતોગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના વડા ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, ગોરવા વિસ્તારમાંથી મળેલા મૃતદેહના જેકેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં એક એડ્રેસ લખેલું હતું એ અમે પોલીસને આપ્યું હતું. આ દરમિયાન એક યુવક 25 વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો હતો. તેનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. કોર્પેોરેટરે પરિવારને સહારો આપ્યોસ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે, ગોરવા શાકમાર્કેટ પાસેથી બિનવારસી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ગોરવા વિસ્તારમાં આવેલ અનમોલ પાર્કમાં રહેતા પરિવારના પુત્રનો હોવાનું જાણવા મળ્યું હતું. આ મૃતદેહને તેના ઘર સુધી પહોંચાડવા માટે શબવાહિની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અંતિમ સંસ્કાર કરવા માટેની વ્યવસ્થા પણ કરીશું. આ ઘટનાની જાણ થતાં તેઓ કૈલાશ રથ લઈને ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડી પરિવારને સહારો આપ્યો હતો. બિનવારસી મૃતદેહોને પરિવાર સુધી પહોંચાડવામાં શ્રીરંગ આયરે હંમેશા મદદરૂપ બને છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના બસ સ્ટોપ પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારે બે દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ પગ પાટા બાંધેલી હાલતમાં હતો જે 6 નવેમ્બરના રોજ પથ્થરોની વચ્ચેથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા કપાયેલા પગને ફોરેન્સિક તપાસ અને પી.એમ. માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિને ગેંગરીન થયું હોય તો જાણ કરવા પોલીસનેઆ અંગે પી.એસ.આઈ વી. એસ. સિસોદીયાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસની એક ટીમ આ પગ કોનો છે તે શોધવા માટે સતત તપાસમાં લાગી છે અને બે દિવસથી ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તેમની હદમાં આવતા દસ જેટલા ગામના સરપંચો સાથે વાત કરી છે અને તેમને સૂચના આપી છે કે જો તેમના ગામના કોઈ વ્યક્તિને ગેંગરીન થયું હોય અને તાજેતરમાં પગ કપાવવો પડ્યો હોય તો તેની જાણ પોલીસને કરે. આ પણ વાંચો:મહેસાણાની રૂપેણ નદીમાંથી માણસનો કપાયેલો પગ મળ્યો,યુવક શૌચક્રિયા કરવા જતાં નજર પડી; પોલીસે ફોરેન્સિક પી.એમ. માટે અમદાવાદ ખસેડ્યો નજીકની હોસ્પિટલોમાં તપાસઆ ઉપરાંત પોલીસની ટીમોએ નજીકની હોસ્પિટલોમાં પણ તપાસ શરૂ કરી છે અને તેવા દર્દીઓની શોધખોળ ચાલુ કરી છે. પોલીસ આ કપાયેલા પગની ઓળખ કરવા અને રહસ્ય ઉકેલવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતો માટે ₹10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકાએ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે. આ પેકેજ અંતર્ગત, ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22 હજારની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પિયત કે બિન-પિયત જમીનનો ભેદભાવ રાખ્યા વિના આપવામાં આવશે, જે એક સંવેદનશીલ નિર્ણય છે. દિલીપભાઈ રાયકાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા અને તેમને નુકસાનીમાંથી રાહત આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે.
શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં જાહેર રોડ પર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. સાંજના સમયે ઇલાબેન ભાવસાર શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતાં. ઘરે પરત ફરતા સમયે સોસાયટીના ગેટ આગળ બે અજાણ્યા શખ્સોએ નજીક આવીને વાહન ધીમું પાડ્યું હતું. ઇલાબેન ભાવસારના ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચી અને તેને તોડીને ફરાર થઈ ગયાં હતાં. જે મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે. સોસાયટીના ગેટની બહાર બે અજાણ્યા શખ્સો બાઈક લઈને આવ્યાગત 7 તારીખે નવા નરોડામાં રહેતા ઇલાબેન ભાવસાર સાંજે 7 વાગ્યા આસપાસ તેમની ઘરની નજીકમાં આવેલા મહાકાળી દુકાન પાસે ભરાતી શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતાં. શાકભાજી લીધા બાદ ઇલાબેન જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સોસાયટીના ગેટની બહાર બે અજાણ્યા શખ્સો બાઈક લઈને આવ્યા હતાં. મહાકાળી દુકાન પાસેથી ચેઈન લઈને ફરારઘરે પરત ફરી રહેલા ઈલાબેનના ગળામાં પહેરેલી ચેન પર મોટર સાઇકલ પર આવેલા શખ્સોની નજર પડી હતી. જેથી મહાકાળી દુકાન પાસે મોટર સાઇકલ ધીમી પાડી પાછળ બેઠેલા એક શખ્સે ઇલાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચી તોડી નાખી હતી. 20 ગ્રામની 1.50 લાખની સોનાની ચેઈનની લૂંટઇલાબેન મોટર સાઇકલ પર આવેલા શખ્સનો ચહેરો જોવે અને તેમને પકડે તે પેહલા જ બંને અજાણ્યા શખ્સ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પર આ પ્રકારની ઘટના બનતા ઇલાબેન ગભરાઈ ગયા હતા. 20 ગ્રામની 1.50 લાખની સોનાની ચેઈનની લૂંટ થઈ હોવાઈ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વઘઇમાં જનજાતિય ગૌરવ રથનું ભવ્ય સ્વાગત:ડાંગ જિલ્લામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, લાભાર્થીઓને સહાય
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતિય ગૌરવ વર્ષ' અંતર્ગત વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ પહોંચી હતી. અહીં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રમતગમત રાજ્ય મંત્રી તથા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા. મંત્રી નરેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે ભગવાન બિરસા મુંડા જેવા મહાન નેતાઓના બલિદાનને યાદ કરી, નવી પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણથી લઈને આત્મનિર્ભરતા સુધીની અનેક યોજનાઓ અમલમાં છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીઓના હસ્તે રૂ. 271.37 લાખના ખર્ચે 59 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 100.41 લાખના ખર્ચે 30 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું અને આદિવાસી કલાકારો તથા રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના જીવન સંઘર્ષને દર્શાવતી એક શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત અંબાજી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ રથયાત્રા નીકળી છે. વઘઇથી પ્રસ્થાન કર્યા બાદ 'જનજાતિય ગૌરવ રથ' ઝાવડા ગામે પહોંચતા સ્થાનિક નાગરિકોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અંતે, મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી રથને તાપી જિલ્લા તરફ વિદાય આપવામાં આવી હતી. આ જનજાતિય ગૌરવ યાત્રાએ ડાંગ જિલ્લામાં આદિવાસી ગૌરવ, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવોને પુનર્જીવિત કર્યા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ડોલવણ ખાતે જન જાગૃતિ સભાને સંબોધી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનો આ તાપી જિલ્લાનો પ્રથમ પ્રવાસ હતો. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે અંદાજે સાડા સાત કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરીને તેની મુલાકાત લીધી હતી. ડોલવણ ખાતેની જન જાગૃતિ સભામાં નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી બોલીના કેટલાક અંશનો ઉપયોગ કરીને ઉપસ્થિત આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું કે આગામી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે દેડિયાપાડા ખાતે એક મોટો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશા આદિજાતિ લોકો સાથે છે. તેમણે કહ્યું કે બે-ત્રણ દાયકા પહેલા કોઈ સરકારે ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા ન હતા, પરંતુ ભાજપ સરકારે આ સાર્થક કરી આજે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ ઉજવે છે.
અમદાવાદની હોટેલ હયાત ખાતે આયોજિત 'સેફ ઈન્ડિયા બ્રેવરી એવોર્ડ' સમારોહમાં ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે. 7મી નવેમ્બર, 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગોધરા ફાયર બ્રિગેડ વિભાગને તેની ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રોત્સાહન બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો. આ સમારોહમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના ફાયર કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડાયરેક્ટર નલિન ચૌધરી, ટેકનિકલ ડાયરેક્ટર અનિલ ચાવડા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વીરભદ્રસિંહ સોલંકી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો સમાવેશ થાય છે. 'ફાયર એન્ડ મેગેઝિન' અને 'કિંગ્સ એક્સપોમીડિયા લિમિટેડ' દ્વારા આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી વાયરલેસ ઓફિસર રાજદીપસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ₹10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લાના બોખીરા ગામના ખેડૂત કેશુ બોખીરિયાએ આ પેકેજને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે આ સહાયથી શિયાળુ પાકની તૈયારીમાં મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને ઝડપથી બેઠા કરવા માટે આ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. સરકારનો આ અભિગમ ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. કેશુ બોખીરિયાએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું. ₹10 હજાર કરોડના રાહત પેકેજથી તેમને શિયાળુ પાક માટે બિયારણ અને દવાઓ ખરીદવામાં મદદ મળશે. તેમણે તાત્કાલિક સર્વે અને સહાય પેકેજ જાહેર કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જાહેર કરેલું આ ઉદાર સહાય પેકેજ રાજ્યના ઇતિહાસમાં ખેડૂતોના હિત માટેનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ રહ્યું છે.
ગાંધીનગરમાંથી ISISના ત્રણ આતંકીઓ ઝડપાયા ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ - ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો CMના હસ્તે જૂનાગઢ મુક્તિ દિવસે 'યુનિટી માર્ચ'નો પ્રારંભ જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢથી 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ, તેઓ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 8.6 કિલોમીટરની યુનિટી માર્ચ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થઈને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક જીમખાના ખાતે સમાપન થઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં 9 લાખ 30 હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે. જો કે, આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે આ મર્યાદા 200 મણની હતી. ખેડૂતો માવઠાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં, આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 150 મણ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બાકીનો પાક ઓછા ભાવે બજારમાં વેચવો ન પડે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતના ઉદ્યોગપતિની ગણોત ખેડૂત માટે સહાયની જાહેરાત સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબા નો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું, જે હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ (9 નવેમ્બર) વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવમાં 10 હજારથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કાંતિ અમૃતિયા ગેરહાજર રહ્યા હતાં. જ્યારે લાંબા સમયથી સ્ટેજ પર જોવા ના મળેલાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નેપાળ ટ્રેકિંગમાં ગયેલા પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા બાદ શોકજનક સમાચાર સામે આવ્યા છે. ભારે હિમવર્ષા બાદ સંપર્ક વિહોણા બનેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશીના મૃતદેહ આજરોજ શોધખોળ દરમિયાન મળી આવ્યા છે. આ ઘટનાથી કડોદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શક્તિસિંહનું સરકાર પર સીધુ નિશાન કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગતરોજ સાંજે (8 નવેમ્બર) આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખ્રિસ્તી મિશનરીઓ ધર્મપરિવર્તન કરાવતાનો હિન્દુ સંગઠનનો આક્ષેપ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. અંગેની જાણ થતા ધારાસભ્ય પણ દોડી આવ્યા હતાં. પોલીસે ચાર લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સૌરાષ્ટ્રમાં જામશે ક્રિકેટનો હાઈ ફીવર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આગમન થશે અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી દિવસમાં ઠંડી ભુક્કા બોલાવશે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. જ્યારે નલિયાને પાછળ છોડી અમદાવાદ-ગાંધીનગર સૌથી ઠંડા શહેર થયા છે. 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને ગાંધીનગરમાં 14 ડિગ્રીએ પહોંચ્યું જયારે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.7 નોંધાયું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે 62મો અન્નકૂટ ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 56 ભોગમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, લાડુ, ફરસાણ, અડદિયા અને બરફી સહિતની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ભક્તોએ આ દિવ્ય અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. આ અન્નકૂટ ઉત્સવ દર વર્ષે માગશર સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. સાંજે 4:30 વાગ્યે આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. રાત્રે 8:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને અન્નકૂટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં 71 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત ગુના નોંધાઈ ચુક્યા છે.
ભાવનગરની ઘરશાળા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થી ગોહેલ ભાવિકે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તેમણે અંડર-19 હેમર થ્રો ઇવેન્ટમાં આ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ બદલ ગોહેલ ભાવિકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. તેમને કોચ પારસ ઉલ્વા દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ભાવિકે આ પ્રદર્શન દ્વારા શાળા તેમજ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય ભાવેશભાઈ છોટાળા અને સમગ્ર શાળા પરિવારે તેમને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. 17.80 લાખ પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. ઈલેક્ટ્રીકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ 17.80 લાખ રૂપિયા પડાવી બોગસ જોઇનિંગ લેટર પધરાવ્યો હતો. મહિલાએ ONGCમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યોમળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને સુરતના કતારગામના જ દંપતી કિંજલ-નિર્મળ રઘુભાઈ ધાનાણી (રહે. મકાન નં.7, વસનજીપાર્ક સોસાયટી, કંતારેશ્વર મહાદેવ મંદિરની પાસે, કતારગામ, સુરત) એ રૂ.17.80 લાખ લઈ બોગસ જોઈનિંગ લેટર આપ્યો હતો. મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટતા પૈસા પરત માંગતા દંપતીએ પૈસા પરત કરવાને બદલે ધમકી આપી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરીઆખરે મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં 8 નવેમ્બરના રોજ જોબ પ્લેસમેન્ટનું કામ કરતા પતિ નિર્મળ રઘુભાઈ ધાનાણી (ઉં.વ.37, મૂળ રહે. આણંદપુર, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર) અને તેની પત્નીની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ પી.જી.વાઘેલા કરી રહ્યા છે.
અમદાવાદના જમાલપુર વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ અને ખાદી અને ગ્રામોદ્યોગની ટીમો દ્વારા આ કાર્યક્રમ ૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જગન્નાથ મંદિર સામેના પરિસરમાં યોજાયો હતો. આ અભિયાન દરમિયાન, મંદિર પરિસરમાં સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી. ટીમો દ્વારા સ્થાનિક લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભીના અને સૂકા કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
એલ.જે યુનિવર્સિટી કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્યોતિષ વિદ્યાના સર્ટિફિકેટ કોર્સ ચલાવી રહી છે. કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં 200 જેટલા જ્યોતિષ વિદ્યાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. તેમજ 5 જ્યોતિષીઓને કોસ્મો લોજરની પદવી પણ આપવામાં આવી છે. જ્યોતિષ ભાસ્કર, જ્યોતિષ વિસારતમાં વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં જ્યોતિષ વિદ્યા શીખવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં 4 ગણો વધારો નોંધાયો છે. વૈદિક વિદ્યાને AI સાથે જોડવાનો પ્રયાસએક સમયે 50થી 60 વિદ્યાર્થીઓ એડમિશન લેતા હતા, ત્યાં હવે 250 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે. જેથી ટેક્નોલોજી સાથે સાથે AIના માધ્યમથી પ્રાચીન વૈદિક વિદ્યાનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. સૌથી જૂની વૈદિક વિદ્યાને ટેક્નોલોજી સાથે જોડી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. કોસ્મો કુંડળીનું AI સોફ્ટવેર બનાવીને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. 'ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સૌથી પ્રાચીન છે'એલ.જે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. મનીષ શાહે જણાવ્યું હતું કે, ભારતની ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સૌથી પ્રાચીન છે, અને આખું વિશ્વ તેનાથી પ્રભાવિત છે. જેથી આપણી પ્રાચીન વૈદિક વિદ્યાને સૌથી લેટેસ્ટ ટેકનોલોજી, AI અને મશીન લર્નિંગ સાથે આગળ વધારવા માટે બંનેને જોડવામાં આવી છે. તેમજ સોફ્ટવેર બનાવી અને રિસર્ચ કરીને જૂની વૈદિક વિદ્યાને ટેક્નોલોજી સાથે જોડી છે જેથી આખી વિશ્વ તેને તેની વાસ્તવિક જોઈ શકે. 'કોસ્મો કુંડળીનું AI સોફ્ટવેર અને એપ પણ બનાવી'કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મૌલિક ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ડિમાન્ડમાં 4 ગણો વધારો નોંધાયો છે. 250 જેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ કરવામાં આવે છે. કોસ્મો કુંડળીનું AI સોફ્ટવેર અને એપ પણ બનાવવામાં આવી છે. ટેક્નોલોજી અને AIના માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદના ઉદય ફાઉન્ડેશન દ્વારા સિંગરવા વૃદ્ધાશ્રમમાં દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે તહેવારોની ઉજવણી કરવાના હેતુથી યોજાયો હતો. આ સ્નેહ મિલન દરમિયાન સિનિયર સિટીઝન્સ માટે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં ગીત, રમત અને ગરબાનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોનો આનંદ વહેંચવાનો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150ની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સાથે આયોજિત ભારત પર્વમાં ઓરિસ્સાના ગવર્નર 8 નવેમ્બરે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ગરિમામય ઉજવણી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ તથા એકતા પ્રકાશ પર્વથી 15 નવેમ્બર સુધી યોજાઇ રહી છે.આ ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રોજ રાત્રે કરીને અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ધ્યેય પાર પડી રહ્યો છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ પર્વમાં જે રાજ્યોની કલાકૃતિઓનું નિદર્શન અને પ્રસ્તુતિ થાય તે રાજ્યના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરતાં રહે છે. તદઅનુસાર, 8મી નવેમ્બરે ભારત પર્વમાં ઓરિસ્સા રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ થઈ હતી. રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતી આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમણે એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વની રોશની, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ, બટરફ્લાય પાર્ક, ફૂડ કોર્ટ, હસ્તકલા હાટ, થીમ પેવેલિયન વગેરેની પણ મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની પોતાની શુભેચ્છા મુલાકાત દરમિયાન ઓરિસ્સાના રાજ્યપાલએ એકતાનગરને એક સંપૂર્ણ વિશ્વ પ્રવાસનધામ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની સફળતાની સરાહના કરી હતી. ભારત પર્વમાં સહભાગી થવા આવેલા કલાકારો, હસ્તકલા કારીગરો સહિત પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરિસ્સાના રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘે રાજ્યપાલને આવકારીને તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ થયા બાદ રામપારાયણ કથાઓ અને રામલલ્લાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પવિત્ર ધાર્મિક વાતાવરણ વચ્ચે હારીજ તાલુકાના ગોવના સાધુ પરિવાર દ્વારા રામપારાયણ યજ્ઞકથાનો પ્રારંભ થયો છે. મહંત કથાકાર શ્રી વિષ્ણુદાસ બાપુના વ્યાસપીઠ પરથી 7 નવેમ્બરના રોજ આ કથાનો આરંભ થયો હતો.પુર્ણાહુતી 11 નાબેમ્બરના રોજ કરવામાં આવનાર છે. કથાનું રસપાન કરવા હારીજ તાલુકા તેમજ પાટણ આસપાસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે રામકથાનું રસપાન કરી રહ્યા છે. કથાના ત્રીજા દિવસે ભગવાન શ્રી રામને પૃથ્વી પર મનુષ્ય અવતાર લેવાના મુખ્ય ચાર કારણોનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન રામનો જન્મ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વ્યાસપીઠ પરથી વિષ્ણુદાસ બાપુએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શ જીવનને પોતાના જીવનમાં ઉતારવા શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને વડીલોની મર્યાદા સહિત રામના જીવન ચરિત્રના વિવિધ પાસાઓને અપનાવવા પર ભાર મૂક્યો હતો.
બનાસકાંઠા LCB એ દારૂની હેરાફેરી ઝડપી:લાખણાસર પાસેથી ₹5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠા LCB એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ ₹5,60,519 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 72 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,50,519 આંકવામાં આવી છે. આ દારૂ ગાડીમાંથી મળી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ સફળતા મળી હતી. પોલીસે વાહનચાલક અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી અંડર-14 નેશનલ (કલેકોર્ટ) લોન ટેનિસ ટુર્નામેન્ટમાં જામનગરના હિત કંડોરિયાએ ડબલ્સમાં ચેમ્પિયનશીપ જીતી છે. આ ટુર્નામેન્ટ 3 નવેમ્બરથી 8 નવેમ્બર, 2025 દરમિયાન યોજાઈ હતી. વર્ષમાં એકવાર યોજાતી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સામાન્ય રીતે ભારતભરમાંથી 128 ખેલાડીઓ ભાગ લે છે, જેમાં 64 ખેલાડીઓ ક્વોલિફાઈંગ ડ્રો અને મેઈન ડ્રોમાં સમાવેશ થાય છે. હિત કંડોરિયાએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. હિત કંડોરિયાએ 2016માં જામનગરના સ્પોર્ટ્સ સંકુલથી ટેનિસની પ્રેક્ટિસ શરૂ કરી હતી. હાલમાં, તે ચંદીગઢની રાઉન્ડગ્લાસ ટેનિસ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. આ વર્ષે હિતે એશિયાના બહેરીન, મલેશિયા, ફિલિપાઈન્સ અને કઝાકિસ્તાન જેવા દેશોમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અંડર-14 એશિયન ટેનિસ રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. જામનગરનો આ યુવા ખેલાડી છેલ્લા સાત વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની લોન ટેનિસ સ્પર્ધાઓમાં સતત ભાગ લઈ રહ્યો છે અને સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેના પિતા શ્રી ભીમશીભાઈ કંડોરિયા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
નવસારી LCBએ પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત નેશનલ હાઇવે નંબર 48 પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. મલવાડા ગામ નજીક એક હોટલ સામે નાકાબંધી ગોઠવીને મુંબઈથી અમદાવાદ જતી એક અર્ટીગા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 8 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. પોલીસે અર્ટીગા કારમાંથી કુલ 1224 નંગ વ્હીસ્કી બોટલો અને ટીન બિયરનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે વોન્ટેડ જાહેર કરાયા છે. LCB દ્વારા કુલ 7,82,640 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 2,72,640 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો, 5,00,000 રૂપિયાની અર્ટીગા કાર અને 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં સની રાધેમોહન કૃપાલ દુબે (ઉંમર 21), જે કારનો ચાલક હતો અને મનીષકુમાર મનોજ યમુનાગોપ યાદવ (ઉંમર 18 વર્ષ 4 માસ), જે કારનો ક્લીનર હતો, તેમનો સમાવેશ થાય છે. સની સેલવાસાના પીપરીયાગામનો અને મૂળ યુ.પી.ના બસ્તી જિલ્લાનો રહેવાસી છે, જ્યારે મનીષકુમાર દમણનો અને મૂળ બિહારના પટના જિલ્લાનો રહેવાસી છે. બંને સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. જેમાં દમણ હાટીયાવાડનો રાજુભાઈ, જેણે અર્ટીગા કાર સપ્લાય કરી હતી, અને સુરત કડોદરાનો સૌરભકુમાર રામઆશીષ યાદવ, જેણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો, તેમનો સમાવેશ થાય છે. LCB સ્ટાફ દ્વારા આ વોન્ટેડ આરોપીઓને પકડવા અને કેસની વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ (પાટણવાળા) પ્રજાપતિ છાત્રાલયની વાર્ષિક સાધારણ સભા રવિવાર, 9 નવેમ્બર 2025 ના રોજ પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં નવી ઇમારતના નિર્માણ અને સંસ્થાના બંધારણમાં સુધારા સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.પાટણમાં આવેલી આ સંસ્થા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. અહીં પ્રજાપતિ નામના કોઈપણ ગોળ કે જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થા સંસ્કાર ઘડતર, રોજિંદા જીવનની સુટેવો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ પૂરું પાડે છે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. સમાજના શૈક્ષણિક વિકાસને ધ્યાનમાં રાખીને ૫૦ વર્ષ પહેલા આ છાત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી.સભામાં ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લેવામાં આવ્યા હતા. વર્ષ 2023-24 અને 2024-25 ના વાર્ષિક હિસાબો રજૂ કરાતા સભાએ તેને બહાલી આપી હતી. આ ઉપરાંત, સંસ્થાના બંધારણમાં સુધારા કરવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.નવીન ઇમારતના નિર્માણ માટે બ્રોશર અને બુકલેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં નવી ઇમારત માટે દાતાઓ નક્કી કરવા અને એક વિશાળ સમારંભનું આયોજન ક્યારે કરવું તે અંગે પણ ચર્ચાઓ થઈ હતી. પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સમાજને સાથે રાખી નવીન ઇમારતનું ભૂમિપૂજન કરવામાં આવશે.આ સભામાં મંત્રી રઘુભાઈ, ઉપપ્રમુખ શીવાભાઈ, સહમંત્રી નરેન્દ્રભાઈ, ગોવિંદભાઈ (પત્રકાર) સંખારી, ખજાનચી જયંતીભાઈ, આંતરિક ઓડિટર હરજીભાઈ નાણાં, બાંધકામ સમિતિના મણીભાઈ અલોડા મહેસાણા, અમરતભાઈ કંબોયા ડીસા, મંજીભાઈ ધધાણા, ભવાનભાઈ ડીસા, દલસુખભાઈ માંડવી (સમી) સહિત સંચાલન અને સલાહકાર સમિતિના સભ્યો જેવા કે ગંગારામભાઈ પાટણ, નિમેષભાઈ જે. ઓઝા મહેસાણા, ઈશ્વરભાઈ ઓઝા ખરડોસણ, હરેશભાઈ એમ. પાટણ, નટુભાઈ ડી. પાટણ, રમેશભાઈ જે. ઈદ્રમાણા, મણિલાલ કે. બંધવડ તેમજ સમાલ પરગણાના પ્રમુખ વીરચંદભાઈ, મફતલાલ વકીલ ભાભર, દશરથભાઈ શિહોરી, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહિત વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઇડીસી, ચિત્રા ખાતે 'વંદે માતરમ' રાષ્ટ્રીય ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળના પ્રખ્યાત લેખક બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા 'આનંદમઠ'માંથી લેવાયેલું આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. આ કાર્યક્રમ માનનીય શ્રી પરેશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દીપપ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બી.ઓ. પટેલસાહેબે પ્રાસંગિક ઉદ્બોધનમાં આ ગીતનો ઐતિહાસિક સંદર્ભ અને તેનું મહત્વ સમજાવ્યું હતું પ્રાર્થનાસભામાં નિયમિત રીતે ગવાતા આ રાષ્ટ્રીય ગીતનો ગુજરાતી અનુવાદ ધોરણ નવની વિદ્યાર્થિની મેર મનસ્વીએ રજૂ કર્યો હતો. અધ્યક્ષીય વક્તવ્ય આપતા શ્રી પરેશભાઈ ત્રિવેદીએ આધુનિક સમયમાં રાષ્ટ્રભક્તિના મૂલ્યોની ઉપયોગિતા વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ધોરણ ૧૦ની વિદ્યાર્થિની ગોહિલ અક્ષિતાબાએ 'સ્વદેશી શપથ' લેવડાવ્યા હતા.
તમે કદાચ સતત છ છગ્ગાના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. યુવરાજ સિંહે 2008ના T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે એક નવો રેકોર્ડ બન્યો છે. ફક્ત એક ઓવરમાં જ છ છગ્ગા નહોતા લાગ્યા. ઓવર સહિત આઠ બોલમાં સતત આઠ છગ્ગા ફટકારવામાં આવ્યા. રવિવારે સુરતમાં રણજી ટ્રોફી મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો આ મોટો રેકોર્ડ બન્યો. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ આ સિદ્ધિ મેળવી. 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના વેઈન નાઈટના 12 બોલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. વીડિયોમાં જુઓ આકાશના સતત 8 છગ્ગા ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઝડપી ફિફ્ટીઆકાશ ચૌધરીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ઝડપી ફર્સ્ટ-ક્લાસ હાફ સેન્ચુરીનો રેકોર્ડ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ લેસ્ટરશાયરના વેઇન નાઈટના નામે હતો, જેમણે 2012માં 12 બોલમાં 50 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ક્લાઇવ ઇનમેને 1965માં 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. સમયની દૃષ્ટિએ તે સૌથી ઝડપી ફિફ્ટીની યાદીમાં બીજા ક્રમે છે. આકાશે આ હાફ સેન્ચુરી 9 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે ઇનમેને માત્ર 8 મિનિટમાં 50 રન બનાવ્યા હતા. 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડીઆકાશ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો. ગેરી સોબર્સ 1968માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી હતો. તેણે ગ્લેમોર્ગન અને નોટિંગહામશાયર વચ્ચેની મેચમાં માલ્કમ નેશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ 1984-85માં આ સિદ્ધિ મેળવી હતી. 2019થી રમી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 25 વર્ષીય આકાશ કુમાર 2019થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 30 મેચમાં 14.37ની સરેરાશથી 503 રન બનાવ્યા છે. સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથેની દલીલ બાદ સ્ટુઅર્ટ બ્રોડના ઓવરના સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
ગાંધીનગરમાં શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સેક્ટર-૧૨ના ગાર્ડનમાં યોજાયો હતો, જેમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના પેન્શનરો તેમજ મંડળના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને નિરોગી તથા સ્વસ્થ જીવન માટે કામના કરી હતી. આ પ્રસંગે સૌએ નોકરીકાળ દરમિયાનના જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા. મંડળના સભ્ય બળદેવભાઈ જાદવના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ અને અન્ય સભ્યોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. ભવિષ્યના કાર્યક્રમો માટે સભ્યો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો. શ્રવણકુમાર પરમારે ફિલ્મી ગીતો ગાઈને મનોરંજન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત સભ્યો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આભાર વિધિ મંડળના સંગઠન મંત્રી ભગુભાઈ સિંઘલે કરી હતી.
નગર પ્રાથમિક શાળા ક્રમાંક 199 ખાતે ઇકો ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ક્લબનો મુખ્ય હેતુ શાળાને 'ઝીરો વેસ્ટ કેમ્પસ' તરીકે વિકસાવવાનો છે. આ પ્રસંગે બિલો 70 એમએમ નામની પ્રથમ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અસાધારણ ફાઉન્ડેશન, ઇનોવેટ 4 ઇન્ડિયા અને વેસ્ટવોલ્ટૈક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને નગર પ્રાથમિક શિક્ષા સમિતિના સહયોગથી હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં GPCBના પ્રાદેશિક અધિકારી, નગર પ્રાથમિક શિક્ષા સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમને પ્લાસ્ટિક પ્રદૂષણ અને કચરાના વિભાજન વિશે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શીખ્યું કે 70 એમએમથી નાની સાઇઝની પ્લાસ્ટિકને અલગથી એકત્રિત કરવી શા માટે જરૂરી છે, જેથી તે લેન્ડફિલ સુધી ન પહોંચે અને તેનો પુનઃઉપયોગ થઈ શકે. આ ઉપરાંત, માઇક્રોપ્લાસ્ટિક અને મેસોપ્લાસ્ટિકથી પર્યાવરણ પર થતી અસરો તથા વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ 'ઝીરો વેસ્ટ' પ્રતિજ્ઞા લીધી હતી અને કલર કોડેડ ડબ્બાઓ દ્વારા કચરાના વિભાજનની પ્રક્રિયા અપનાવી હતી. આ પહેલ દ્વારા SMC શાળા ક્રમાંક 199 એ સ્વચ્છ અને હરિત વિદ્યાલય બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રયાસ મિશન લાઇફ અને સ્વચ્છ ભારત મિશન સાથે સુસંગત છે, જે ટકાઉ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
જરૂરિયાતમંદ વડીલોને સહાય:અમદાવાદમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધોને રાશન કીટ વિતરણ કરાયું
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે નિયમિત રાશન કીટ વિતરણનું કાર્ય કરવામાં આવે છે. આ પહેલ આધુનિક સમાજમાં વૃદ્ધોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં કુટુંબની રચના નાની થતી જાય છે અને વ્યક્તિગત જીવનશૈલીમાં પરિવર્તન આવતા ઘણા વૃદ્ધો એકલા પડી જાય છે. સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોવાને કારણે અથવા અન્ય પરિસ્થિતિઓને લીધે આ વૃદ્ધોની સંભાળ રાખવી મુશ્કેલ બને છે. આ રાશન કીટ દ્વારા વૃદ્ધોને રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, દાળ, તેલ, મસાલા અને અન્ય આવશ્યક સામગ્રી સરળતાથી પ્રાપ્ત થાય છે. આનાથી તેઓને ખોરાક માટે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી અને તેઓ સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે છે. ભૂખ અને આર્થિક તંગીની ચિંતા દૂર થવાથી તેમના આરોગ્ય અને માનસિક સુખમાં પણ સુધારો થાય છે. આ પહેલ માત્ર ભોજન પૂરું પાડવાનું કાર્ય નથી, પરંતુ એકાકી વૃદ્ધોને સામાજિક જોડાણ અને સંભાળનો અનુભવ કરાવવાનો પ્રયાસ છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય સમાજમાં સહાનુભૂતિ, એકતા અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તે દર્શાવે છે કે સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તેમાંના નબળા વર્ગની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે.
પોરબંદર BAPS મંદિરે ભવ્ય અન્નકૂટોત્સવ યોજાયો:મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો
પોરબંદરના ખીજડીપ્લોટ સામે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે રવિવારે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2001માં પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે ખીજડીપ્લોટ સામે આ સુંદર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી હતી. આ મંદિર ભક્તિ, સત્સંગ અને સદાચારના પાઠો માટે જાણીતું છે. આ મંદિરમાં પ્રતિવર્ષે પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૪માં પાટોત્સવ નિમિત્તે અન્નકૂટોત્સવ યોજાયો હતો. અન્નકૂટ આરતી બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવી હતી, જ્યારે અન્નકૂટ દર્શન બપોરે ૧૨ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. આ ઉપરાંત, સાંજે ૫ થી ૭ કલાક સુધી સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગણેશ યાગ, ધજારોહણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિર અને ગણપતિદાદાને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં સવારે 6 વાગ્યાથી 11 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગનો પ્રારંભ થયો હતો. યજમાન બાબુલાલ પુરોહિત પરિવારના અમૃત પુરોહિતના હસ્તે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરની ધજા સાથે પ્રદક્ષિણા કરીને શિખર પર પૂજન-અર્ચન બાદ ધજારોહણ કરવામાં આવ્યું હતું. ગણેશ યાગનું હવન બપોરે 12:39 કલાકે શ્રીફળ હોમ સાથે પૂર્ણ થયું હતું. હવન પૂર્ણ થયા બાદ ગણપતિદાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.
ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટે 20 વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા વિના યુકેના ધોરણ પ્રમાણે અભ્યાસ કરવા ઇચ્છે છે. યુનિવર્સિટીએ જણાવ્યું કે આ પહેલ ભારત-યુકે વચ્ચેના શૈક્ષણિક સહકારને મજબૂત બનાવશે અને ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના કોર્સ કરવામાં સહાયક બનશે. આ સાથે જ તાજેતરમાં જાહેર કરાયેલી “20 Women in STEM Awards” બાદ ક્વીન યુનિવર્સિટીની આ નવી પહેલ “Access, Inclusion અને Excellence”ના દિશામાં અગત્યનું પગલું ગણાય છે. સ્કોલરશિપ માટે કેવી રીતે અરજી કરવીસ્ટેપ 1: ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટની ભારત માટેની વેબસાઇટ અથવા GIFT સિટી કેમ્પસ પોર્ટલ www.qub.ac.uk પર જઈને અરજી કરો.સ્ટેપ 2: યોગ્ય અનુસ્નાતક અથવા સ્નાતકોત્તર કોર્સ પસંદ કરો.સ્ટેપ 3: શૈક્ષણિક લાયકાત (ઓછામાં ઓછા 75% ગુણ સાથે) અને 300–500 શબ્દનું સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ સબમિટ કરો.સ્ટેપ 4: અંગ્રેજી ભાષામાં નિપુણતાનો પુરાવો અને ઓળખ દસ્તાવેજો અપલોડ કરો.અંતિમ તારીખ: પ્રથમ તબક્કા માટે 31 જાન્યુઆરી, 2026 અને પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓની જાહેરાત માર્ચ, 2026માં થશે. યુનિવર્સિટી ડીનનો પ્રતિભાવક્વીન યુનિવર્સિટી GIFT સિટી કેમ્પસના ડીન પ્રોફેસર એમ. સતીશ કુમારએ જણાવ્યું કે, “આ સ્કોલરશિપ્સ વૈશ્વિક નેતૃત્વ અને નવીનતા માટે તૈયાર થનારા ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે. ભારત અને યુકે મળીને ટકાઉ વિકાસ, ડિજિટલ પરિવર્તન અને ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં ઉકેલો લાવી શકે એ જ આ પહેલનો હેતુ છે.” NEP અંતર્ગત મોટો નિર્ણયક્વીન યુનિવર્સિટીના નવા GIFT સિટી કેમ્પસને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં દર્શાવેલા “ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ”ના લક્ષ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. સ્કોલરશિપ્સ બિઝનેસ, ટેક્નોલોજી અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા લાવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા બૂથ પ્રમાણે BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા 122 નંબરના મમતા શિશુ વિહાર બૂથના BLO સચિનભાઈ સુથાર તેમના વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે. આ બૂથમાં કુલ 1461 મતદારો નોંધાયેલા છે. રવિવારે, સચિનભાઈ સુથાર અષ્ટવિનાયક ગણપતિ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મતદારોને મતદાર યાદીના ફોર્મ આપ્યા હતા અને ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર સમજૂતી આપી હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિક પાલિકાના સદસ્ય અમૃત પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ પહોંચી:ગઢડામાં ભવ્ય સ્વાગત, નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પ્રવેશી હતી. ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પોતે ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં સામેલ થયા હતા. તેમની સાથે લાલજી દેસાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજેશ ગોહિલ, કોંગ્રેસ પ્રમુખ હિમતભાઈ કટારીયા, જગદીશભાઈ ચાવડા અને કિશોરભાઈ વેલાણી સહિતના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલું રાહત પેકેજ માત્ર 'લોલીપોપ' સમાન છે, જે ખેડૂતોની મજાક સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોને ૧ લાખ ૪૦ હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. આવા સમયે ખેડૂતોના આશીર્વાદ લેવાને બદલે સરકાર તેમની 'હાય' લઈ રહી છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે. ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે, ત્યાં સુધી કોંગ્રેસની આ લડત ચાલુ રહેશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે આ ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના રાહત પેકેજથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે, અને કોંગ્રેસે સરકાર પર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ મૂક્યો છે.
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. સરકારે ખેડૂતોના હિતમાં આ ખરીદીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ચાર ખરીદી કેન્દ્રો પૈકી હાલ બે કેન્દ્રો પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને બજારભાવ કરતાં પ્રતિ મણ રૂ. 400 વધુ ભાવ મળી રહ્યો છે. ગઢડા માર્કેટિંગ યાર્ડ અને પાળીયાદ સબયાર્ડ ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત થયા છે. ખેડૂતો તેમની મગફળી લઈને કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. બોટાદ જિલ્લામાં 9 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલ ખેડૂતોમાંથી દરરોજ 100 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયા અંતર્ગત, દરરોજ 100 ખેડૂતોને બોલાવીને મગફળી ખરીદવામાં આવશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણ મગફળી ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, યાર્ડના ચેરમેન સુભાષભાઈ હુંમલ, અમરશીભાઈ માણીયા, મુકેશભાઈ હિહોરીયા અને હિરાભાઈ સખપર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452 નક્કી કર્યો છે. હાલ બજારમાં મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. 1000 થી 1100 ચાલી રહ્યો છે. આથી, ખેડૂતોને સરકાર દ્વારા પ્રતિ મણ રૂ. 400 જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. મગફળી વેચવા આવેલા ખેડૂત જગજીવનભાઈ ગાગડીયા અને બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે બજારભાવ ઓછો હોવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી હોવાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે.
મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે માલ લઈને આવવા લાગ્યા છે. ગુજકોમાર્સોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મોરબીના સનાળા રોડ પરના માર્કેટ યાર્ડ ખાતે મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. પ્રથમ દિવસે 30 ખેડૂતોને મેસેજ મોકલીને બોલાવવામાં આવ્યા હતા, જેઓ પોતાની મગફળી લઈને વેચાણ માટે પહોંચ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદાડિયાએ જણાવ્યું હતું કે, સરકારી નીતિ-નિયમો મુજબ મગફળીનું વજન અને ભેજનું પ્રમાણ ચકાસ્યા બાદ જ ખરીદી કરવામાં આવે છે. તેમણે ખેડૂતોને ઉતાવળ ન કરવા અને સૂકી તથા સ્વચ્છ મગફળી લાવવા અપીલ કરી હતી. નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવિયાએ માહિતી આપી હતી કે, ટંકારા તાલુકામાં 12,000, હળવદમાં 10,000, વાંકાનેરમાં 2,000 અને મોરબી તથા માળિયા તાલુકામાં 3,200 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ નોંધાયેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે, તેથી કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ધ ફર્ન હોટલમાં અમદાવાદના યુવકે રિસેપ્શનિસ્ટ યુવક સાથે બોલાચાલી કરીને થપ્પડ મારી દીધી હતી. રિસેપ્શનિસ્ટ યુવકે આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અકોટા પોલીસે આરોપી મિરાજ ત્રિવેદીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્રણ લોકો હોટેલમાં આવ્યા હતામૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રહેતા અને અકોટા વિસ્તારમાં આવેલી ધ ફર્ન હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતા 23 વર્ષીય ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, હું સવારના 8 વાગ્યે મારી નોકરી પર આવ્યો હતો. હું ધ ફર્ન વડોદરા હોટલમાં આવનાર ગેસ્ટનું ચેક ઇન અને ચેક આઉટ કરવાનું તથા કેશીયરનું કામ કરું છે. તા. 07/11/2025ના રોજ રિસેપ્શન પર કૃષાંગ પટેલ હતા. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ હોટલમાં આવ્યા હતા અને તેઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. પિતા હસીત શાંતીલાલ ત્રિવેદી (રહે. સી/401, સકાતવેલી આવકાર હાઇટ્સ ન્યુ ચાંદખેડાની પાસે ચાંદખેડા અમદાવાદ), પુત્ર મીરાજ હસીત ત્રીવેદી, (રહે. સી/401, સકાતવેલી આવકાર હાઇટ્સ ન્યુ ચાંદખેડા ની પાસે ચાંદખેડા અમદાવાદ) અને USAના ન્યુયોર્કની નાગરિક મહિલાએ બે દિવસ માટે ચેક ઇન કર્યું હતું. ત્યારબાદ 08/11/2025ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ મીરાજ હસીતભાઈ ત્રીવેદી રિસેપ્શન પર આવ્યા હતા. મારા ફોન પર મેસેજ પણ આવ્યો છે પણ હું આ વ્યક્તિને નથી ઓળખતોમિરાજ ત્રિવેદીએ મને કહ્યું હતું કે, અમે બહાર જઇએ છીએ અને અમારા રૂમમાં કોઇએ જવુ નહી, ત્યારબાદ અમારા મેનેજર વિનયભાઇએ તેઓએ આપેલ મોબાઇલ નંબર નંબર પર કોલ કર્યો હતો. જે નંબર ઉપર ફોન કરતા કોઇ વ્યક્તિએ ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, મારા ફોન પર હોટેલ ચેક ઇનનો મેસેજ પણ આવ્યો છે અને હું આવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી અને આ મારો નંબર છે. ત્યારબાદ હોટેલના મેનેજર વિનય ગોયલે ફરીથી મીરાજભાઇને કહ્યું હતું કે, તમારો પોતાનો મોબાઇલ નંબર આપો, જેથી આ મીરાજભાઈ ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યા હતા અને જોરજોરથી બોલવા લાગ્યા હતા અને મને જોરથી ઝાપટ મારી દીધી હતી, જેથી મે 112 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસ અમને અને મીરાજભાઇને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી અને હું મીરાજ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતીપુત્ર મિરાજ ત્રિવેદી અને તેના પિતા હસીત ત્રિવેદી અમદાવાદના સરનામા પર રહેતા નથી. અગાઉ તેઓ ભાડેથી ત્યાં રહેતા હતા. અત્યારે પિતા-પુત્ર અમદાવાદ અને વડોદરાની અલગ-અલગ હોટલમાં રહે છે. હસિત ત્રિવેદી થોડા સમય માટે અમેરિકા ગયા હતા. જેથી, તેમની સાથે અમેરિકન મહિલા નાગરિક આવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન આરોપી મિરાજ ત્રિવેદીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી. ફરિયાદી ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, મિરાજ ત્રિવેદી ફોટો આઈ.ડી. આપવા માટે તૈયાર નહોતો, ત્યારબાદ અમારા રજીસ્ટર માટે તેનો ફોટો પાડવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને મને થપ્પડ મારી દીધી હતી. જેથી, મેં પોલીસને બોલાવી હતી. ત્યારબાદ પોલીસને પકડીને લઈ ગઈ હતી. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી વી બલદાણીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતા અમારી ટીમ હોટલમાં પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પહેલા પતિએ લગ્નેતર સંબંધો તોડી છુટાછેડા આપી દીધા હતા. પતિએ મહિલા પાસેથી પુત્રીને પણ પોતાની પાસે રાખી હતી. જે બાદ મહિલા નીર્ધાર બનતા પોતાના પિયરમાં માતા-પિતા કોઈ જ ન હોવાથી તે પોતાના મોસાળમાં જઈ ભાડેથી ઘર રાખી રહેવા લાગી હતી. ત્યાં મોસાળમાં આવેલા તે ગામના ભાણેજ એવા પ્રજ્ઞાચક્ષુ યુવક સાથે તેને પરિચય થતા બન્નેનો પરિચય જોત જોતામાં પ્રેમમાં પરિણમ્યો હતો. જે બાદ બન્ને પ્રેમી-પંખીડાએ પ્રેમલગ્ન કરી પોતાના નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. જોકે, આ પ્રેમલગ્ન મહિલાએ પ્રજ્ઞાચક્ષુની સંપત્તિ લૂંટવા કર્યા હોવાની શંકા કરી સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સમાધાન કરવાના બહાને નજીકની કોર્ટમાં લઈ ગયાંસાસરિયાઓએ ત્રાસ આપતા લગ્નના 1 મહિના સુધી બન્ને પ્રેમી પંખીડાઓ વિખૂટા રહ્યા હતા. ત્યાં એક દિવસ સાસરિયાઓએ મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિને સામાજિક સમાધાન કરવાના બહાને નજીકની કોર્ટ કચેરીમાં બોલાવતા મહિલાને સાસરિયાઓએ કોઈ તરકટ રચ્યું હોવાની શંકા ગઈ હતી. જેથી તેને મહિલા હેલ્પ લાઇન 181 પર કોલ કરી મદદ માંગતા અભિયમની ટીમ મદદ માટે દોડી આવી હતી. 181ની ટીમે મહિલાની મરજી વિરુદ્ધ છુટાછેડાની પ્રક્રિયા અટકાવીઅભિયમની ટીમે મહિલા પાસે જઈ જોતા તેના સાસરિયાઓ દ્વારા તેના પર દબાણ કરી છુટાછેડા કરાવવા પ્રયાસ કરાતો હતો. જેથી 181ની ટીમે મહિલાની મરજી વિરુદ્ધ દબાણપૂર્વક કરાતા છુટાછેડાની પ્રક્રિયા અટકાવી હતી. જે બાદ મહિલા તેના પતિ અને સાસરિયાઓના પ્રશ્નો અંગે ચર્ચા કરતા મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિને એકબીજા સાથે દાંપત્ય જીવન જીવવું હોવા છતાં તેમના સ્વજનો દ્વારા મહિલાએ સંપત્તિ પડાવવા આ લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવી તેમને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત સામે આવી હતી. નજીકના પોલીસ મથકે સાસરિયાઓના ત્રાસની અરજી આપીજેથી 181ની ટીમે મહિલાના સાસરિયાઓને તે નવદંપતીને હેરાન પરેશાન ન કરવા અને કાયદા વિરુદ્ધ તેમના પર દબાણ કરી છુટાછેડા ન કરાવવા સમજાવવામાં આવ્યા હતા. જેથી કાયદાનો પાઠ ભણ્યા બાદ સાંસરિયાઓએ મહિલાને પરેશાન ન કરવાની ખાતરી આપી સમાધાન કર્યું હતું. જોકે, તે બાદ પણ મહિલાને તેના માથાભારે સાસરિયાઓ તેમના પર હુમલો કે કોઈ ખોટી હરક્ત કરે તેવો ભય હોવાથી 181ની ટીમે તેને પોતાના અધિકાર માટે કાયદાકીય મદદ મેળવવા PBSC, પોલીસ સ્ટેશન અને મહિલા હેલ્પલાઈન સહિતની સમજ આપી માર્ગદર્શન કર્યું હતું. જે બાદ મહિલાએ પોલીસની મદદ લેવા ઈચ્છા જતાવતા ટીમે તેની સાથે જઈ તેના નજીકના પોલીસ મથકે સાસરિયાઓના ત્રાસ અને તેમનાથી ભય હોવા અંગેની અરજી આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાન અને અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વર્ગસ્થ પ્રવિણસિંહ જાડેજાના પ્રેરણાદાયી જીવન પર લખાયેલ પુસ્તક 'વિરલ વ્યક્તિત્વ'નું વિમોચન આજે એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી સામાજિક, રાજકીય, અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. પ્રવિણસિંહ જાડેજાના જીવન અને કાર્યોને યાદ કરીને ભાવાંજલિ આપી હતી. આ પ્રસંગે રાજકોટના રાજા માંધાતાસિંહજી જાડેજાએ પ્રવિણસિંહ જાડેજાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, પ્રવિણસિંહ જાડેજાનું વ્યક્તિત્વ ખરેખર તેમના પુસ્તકના શીર્ષકને અનુરૂપ વિરલ હતું. શિક્ષણ અને યુવા ઘડતર માટેનું તેમનું સમર્પણ પ્રશંસનીય હતું. તેમનો જીવન સંદેશ અને માર્ગદર્શન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. તેમણે વિદ્યાર્થીઓમાં માત્ર જ્ઞાન નહીં, પણ સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કર્યું હતું, જે ક્ષત્રિય ધર્મનું સાચું પાલન છે. પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા પ્રસન્નતા, ઉત્તમતા અને જાગરૂકતાનો અખંડ સરવાળો છે. તેના નામ પરથી જ તેમનું વ્યક્તિત્વ ઉપરાંત તેમના અનૂઠાપણની આગવી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે. આદરણીય પ્રવીણસિંહજી સાહેબે પોતાનું પૂરું જીવન હરભમજી રાજ ગરાસિયા છાત્રાલયમાં સમર્પિત કર્યું છે. એટલું જ નહીં, પરંતુ તેમણે નિષ્ઠા અને જાગૃતિ સાથે સેવા કાર્યના સમર્થ સાકાર સાધક તરીકે તેમજ સહજતા, સરળતા, સમર્પિતતા, સંકલ્પબદ્ધતા અને કોઈ અપેક્ષા વગરની સેવા કાર્યના એક સમર્થ પાર્થી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રવીણસિંહજી સાહેબ એક ધ્રુવ તારક સ્વરૂપે આપણા સૌના ચિદાકાશમાં અંકિત થયા છે. તેઓ સર્વસમાજને પોતાનું મંદિર માનતા હતા, અને અદમ્ય સ્નેહ તથા અપાર સ્નેહ તેમની શક્તિ હતી.આગળ વાત કરતાં તેમણે કહ્યું કે પ્રવીણસિંહજી સાહેબ માટે કઠોર પરિશ્રમ એ તેમનું કર્તવ્ય હતું અને પરમાર્થ જ તેમનું જીવન હતું. તેમના ચહેરા પર હંમેશા નિર્મળ હાસ્ય અને વાણીમાં વિનમ્રતા જોવા મળતી. તેમની અદ્વિતીય સેવાકીય સુવાસ હતી, જે 'હું નહીં, પરંતુ તું જ તું'ની સંકલ્પના સાથે જોડાયેલી હતી. રાજકોટનાં રાજા માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, સત્ય, નૈતિકતા, વિનમ્રતા અને એક વિચારોની અંદર એક રેવોલ્યુશન જે રીતે ગુણોનું પ્રકટીકરણ બાળકોની અંદર પોતે કરી શક્યા છે, એને ભૂલી શકાતું નથી. અને આ એકમાત્ર આ ગ્રંથ વિમોચન માટેનો અવસર નથી, પરંતુ વિરલ વ્યક્તિત્વની વંદનાનો અવસર છે. આજે સેવા, કર્મના એક ભેખધારીની ગુણાનુવાદનો એક આ અવસર છે, અને જે આપણે માણીએ છીએ. અને વિનમ્રતા, વિશ્વસનીયતા અને સંવેદનશીલતાના પથિક તરીકેની એક પ્રેરક રસધારમાં ભીંજાવવાનો આ અવસર છે. ઉલ્લેખનીય છે કે 'વિરલ વ્યક્તિત્વ' નામના આ પુસ્તક વિમોચન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ સહિત સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આર્ષ વિદ્યામંદિરનાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી ખાસ હાજર રહ્યા હતા. અને સ્વ. પ્રવિણસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજ માટે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. સાથે જ ક્ષત્રિય સમાજને નવો રાહ ચીંધવા માટે આ પુસ્તકનું મહત્વ પણ સમજાવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 344.27 વીઘા સરકારી જમીન પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદના મામલતદારે બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ બનાવટી સહી સિક્કાના આધારે જમીન પોતાના નામે કરી હતી. કયા ગામોની જમીન?કૌભાંડ આચરનારા આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની વિવિધ સર્વે નંબરવાળી સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પોતાના નામે કરાવી લીધી હતી. કોણે અને ક્યાં નોંધાવી ફરિયાદ?હળવદના મામલતદાર અલ્કેશ ભટ્ટ (ઉં.વ.55) એ આ સમગ્ર કૌભાંડ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. કયા નવ આરોપીઓ સામે ગુનો? કેવી રીતે આચરાયું કાવતરું?ફરિયાદ મુજબ, આરોપીઓએ 26 માર્ચ 2016થી 17 જુલાઈ 2020 દરમિયાન આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું. તેમણે સરકારી કચેરીઓના હોદ્દેદારોના બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો. સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ કરી. ખોટા હુકમો તૈયાર કર્યા. આ બનાવટી દસ્તાવેજોના આધારે ત્રણેય ગામોની કુલ 344.27 વીઘા સરકારી જમીનની નોંધણી સરકારી કચેરીના રેકોર્ડમાં પોતાના નામે કરાવી લઈને આચરણ કર્યું હતું. કઈ કલમો હેઠળ ગુનો?પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 465 (ખોટા દસ્તાવેજો બનાવવા), 467 (કિંમતી જામીનગીરીની બનાવટ), 468 (છેતરપિંડીના હેતુથી બનાવટ), 471 (બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ), 472 (બનાવટ કરવા માટે સ્ટેમ્પ કે સાધનનો કબજો), 120 (બી) (ગુનાહિત કાવતરું) અને 34 (સમાન ઈરાદો) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ. અંબારિયા ચલાવી રહ્યા છે.
સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી મહાલય બંગ્લોઝ 2ના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીમાં ઉગાવેલું અતિ દુર્લભ સિંદૂરનું વૃક્ષ સોસાયટીના જ એક સભ્યએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાપી નાખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સોસાયટીના રહીશોની લાગણી દુભાતા સિંદૂરના વૃક્ષનું બેસણું યોજ્યું હતું. જેમાં સોસાયટીના રહીશો સહિત વૃક્ષ પ્રેમીઓએ પણ હાજર રહ્યા હતા. સિંદૂરનું વૃક્ષ કાપવામાં આવતા સોસાયટીના રહીશોએ બે મિનિટનું મૌન રાખી અને હનુમાન ચાલીસા બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સિંદૂરનું વૃક્ષ કાપનાર સોસાયટીના સભ્યએ ઘોર અપરાધ કર્યો હોવાનો અન્ય લોકોએ આક્ષેપ કર્યો છે. સિંદૂરનું ઝાડ હોવાથી હનુમાન ચાલીસા કરી બે મિનિટનું મૌન રાખ્યું હતુંમહાલય બંગ્લોઝ-2ના રહેવાશી કૃનીલ ભટ્ટે જણાવ્યું હતું કે, 2018માં સિંદૂરનું એક હેરિટેજ ઝાડ વાવ્યું હતું. ઝાડ પર સિંદુર આવવા લાગ્યા હતા, જે અમે રામ મંદિર પણ મોકલ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી ઝાડની ડિમાન્ડ વધતા લોકો કહેતા હતા કે, વાહ તમારે ત્યાં સિંદૂરનું વૃક્ષ છે. 7 તારીખે સોસાયટીના એક રહિશે માળીને ધમકી આપી ઝાડ કપાવી નાખ્યું. જે બાદ કોર્પોરેશનમાં CCTV આપીને ફરિયાદ કરી છે. વૃક્ષ સાથે અમારી વેદના જોડાયેલી હતી. જેથી સિંદૂરનું ઝાડ હોવાથી હનુમાન ચાલીસા કરી બે મિનિટનું મૌન રાખ્યું હતું. જો વૃક્ષ પ્રત્યે આપણે સંવેદના દાખવે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી બચી શકીએ છીએ.
રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થઈ ગયો છે. દરમિયાન વ્યાજખોર વિજય મકવાણા અને તેના માણસો દ્વારા યુવકને આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતનો ખાર રાખી તેના ભાઈ કે જેઓ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. તમેજ ભાઈને લુપ્ત કરી નાખ્યો છે અને રૂપિયા આપવા પડશે તેમ કહી નાસી છૂટ્યા હતા. જે ઘટનામાં રાજકોટ ગ્રામ્યની મેટોડા GIDC પોલીસે મુખ્ય આરોપી વિજય મકવાણા, દિલીપ રાઠોડ સહિત 5 શખસની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદના આધારે પાંચની ધરપકડ કરીરાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, 6 નવેમ્બરના ફરિયાદી દિલીપભાઈ આઈ ટ્વેન્ટી કાર લઈ વીરડા વાજડીના ગેટ પાસે આવતા 3 અજાણ્યા શખસે દિલીપભાઈની કારના કાચ ફોડી નાખ્યા હતાં. દિલીપભાઈને બહાર કાઢી મારતા મારતા કહ્યું હતું કે, તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે. તેમ કહી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી છે. જે ઘટના મામલે મેટોડા પોલીસ મથકમાં BNS કલમ 109 મુજબ FIR દાખલ કરવામાં આવેલી છે. જેથી આ ગુનાના આરોપી રાજકોટના વિજય નારાયણ મકવાણા અને 4 અજાણ્યા શખ્સો સામેલ હોવાથી 5 શખસની અટકાયત કરવામાં આવી છે. IG અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય SP વિજયકુમાર ગુર્જરની સૂચનાથી આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. વિજય સામે આઠ ગુના, વિશાલ હજુ ફરારઆરોપી વિજય સામે અલગ-અલગ 8 FIR નોંધાયેલી છે, જેમાં રાજકોટ, ધ્રોલ અને આટકોટમાં મારામારી, ધાડ, આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. હજુ વિશાલ ગુમ છે, ત્યારે તે સામે આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલા રૂપિયાની લેતીદેતી હતી. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપી અમને હેરાન કરે છેઃ વિનુભાઈ રાજકોટના રહેવાસી વિનુભાઈ વીરડાએ જણાવ્યું હતું કે, મારા દીકરા વિશાલે વિજય મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણા પાસે રૂ.1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની અમને જાણ પણ ન હતી. અચાનક તે એક ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે. જે ચિઠ્ઠીમાં તેને લખ્યું છે કે, હું ઘર છોડીને જાવ છું. વ્યાજવાળા લોકો મને જીવવા નહિ દે. ભાઈ-ભાભી, બા-બાપુ સહિતના પરિવારનું સંતાનોનું ધ્યાન રાખજો. મેં વિજય મકવાણા પાસેથી અને અન્ય લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા છે. વિજય મકવાણા પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા, જેની સામે 40% વ્યાજ વસુલતા હતા. મેં રૂ.1 કરોડ સામે 55 લાખ જેટલી રકમ પરત આપી દીધી હોવા છતાં વધુ રૂ. 2.39 કરોડની માંગણી કરતા હતાં. બાદમાં વ્યાજનું વ્યાજ અને મૂળ રકમ સહિત 10 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. અમારી પાસે આટલા રૂપિયા છે પણ નહિ તો અમે કેવી રીતે આપીએ. દીકરાએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વિજય મકવાણા અને ભાવેશ મકવાણા અમને હેરાન કરી રહ્યા છે. રેવન્યુ તલાટી ભાઈને રોકી મારમાર્યોયુવાનના ભાઈ દિલીપભાઈ વીરડા કે, જેઓ કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને 6 નવેમ્બરના રોજ નોકરીથી પરત આવતા સમયે વાજડી ગામ નજીક અજાણ્યા શખ્સોએ અટકાવી વિશાલ ક્યાં છે? તે જ તેને ગુમ કરી દીધો છે, રૂપિયા તો આપવા જ પડશે. અમે વિજયભાઈના માણસો છીએ, કહી બેફામ માર માર્યો હતો, જેના કારણે હાથ તથા પગમાં ઈજાઓ પહોંચતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે હાલ સારવાર હેઠળ છે અને તેમણે પણ સમગ્ર મામલે પોલીસ વિજય મકવાણા અને અજાણ્યા માણસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથીઃ ભાવેશ મકવાણાબીજું બાજુ ભાવેશ મકવાણાએ વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે, હું એક સિંગર છું. વિશાલ વીરડા મારો નાનપણનો ખુબ સારો મિત્ર છે. મેં કોઈ પઠાણી ઉઘરાણી કરી નથી. વિશાલ વીરડાએ મને જુદા-જુદા બહાના આપી મારી પાસેથી અને મારા મોટાભાઈ વિજય મકવાણા પાસેથી રૂપિયા લીધા છે જે પરત આપ્યા નથી. મારા ઉપરાંત વિશાલે અનેક લોકો પાસેથી રૂપિયા લીધેલા છે, જેઓને પણ તેને પરત આપ્યા નથી. મારે વિશાલના પરિવાર સાથે કોઈ દુશ્મની નથી.
ભુજ શહેરના કોડકી રોડ પરની એક હોટલ પાછળની ઝાડીઓમાંથી બે માસની એક બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા જ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીને હસ્તગત કરી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઘોડિયાઘર ખાતે ખસેડી છે. પોલીસ સૂત્રો અનુસાર, આજે સવારે કોડકી રોડ પર આવેલી એક હોટલના સંચાલકને ઝાડીઓમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેમણે તપાસ કરતા કપડામાં લપેટેલી બે માસની બાળકી રડતી હાલતમાં મળી હતી. સંચાલકે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકીને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્યા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી છે? તેને લઈને પીઆઈ એ.જે. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઈને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે. બાળકી હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલની આડમાં છુપાવીને ટ્રક (કન્ટેનર)માં લઈ જવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થાની કુલ કિંમત રૂ. 57,99,744 આંકવામાં આવી છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની બાતમી મળતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સંયુક્ત બાતમી મળી કે અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલો છે અને તે આસોજ ગામ પસાર કરી જરોદ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે હાલોલ-વડોદરા રોડ પર લીલોરા ગામના કટ સામે ટ્રકને કોર્ડન કરી રોક્યો હતો. ટ્રકમાં તપાસ કરતાં ડ્રાઇવર નંદરામ નાનકીયા ભુરીયા (રહે. મકાન નં. 192, ગામ ભીચોલી મર્દાના, દેવાસ રોડ, ઇન્દોર, મધ્યપ્રદેશ) એકલો મળી આવ્યો હતો. તેણે જણાવ્યું કે ટ્રકમાં પ્લાસ્ટિક એરબબલ શીટના રોલ સાથે વિદેશી દારૂ ભરેલો છે. પાછળના દરવાજા ખોલી તપાસમાં પ્લાસ્ટિકના રોલ હટાવતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 502 પેટી, પ્લાસ્ટિક એરબબલ 50 રોલ, મોબાઇલ અને ટ્રક મળીને કુલ રૂપિયા 68,44,744 નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા વિના નિવૃત્ત થવાની ફરજ પડશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. DySOને પગાર તો વધશે, પણ હોદ્દો નહીંમાહિતી મુજબ, આશરે 1400 જેટલા નાયબ સેક્શન અધિકારીઓ (DySO) વર્ષ 2031-32 સુધીમાં સેક્શન અધિકારીનું પગાર ધોરણ લેતા હશે, પરંતુ તેઓની કામગીરી DySO તરીકે જ રહેશે. એટલે કે, પગારમાં વધારો છતાં પદ અને જવાબદારીમાં કોઈ ફેરફાર નહીં થાય. એસોસિએશનનું કહેવું છે કે, આ કેડર મેનેજમેન્ટની ખામીના કારણે અનુભવી કર્મચારીઓની કુશળતા અને સેવા બંનેનો યોગ્ય ઉપયોગ થતો નથી. વારંવાર રજૂઆતો છતાં સરકારનું મૌનએસોસિએશન દ્વારા 1 જુલાઈ 2021, 2 ફેબ્રુઆરી 2022, 7 ફેબ્રુઆરી 2024, 24 જુલાઈ 2024 અને તાજેતરમાં 8 ઑગસ્ટ 2025ના રોજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ, સરકાર તરફથી એક પણ રજૂઆતનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. એસોસિએશનનું કહેવું છે કે, જો રજૂઆત મુજબ રેશિયો સુધારવામાં આવે તો અનુભવી DySOને બઢતીની તકો મળે, સરકારને નીતિ ઘડતર જેવી કામગીરીમાં લાભ થાય અને નાણાકીય બોજ પણ ઘટે. અન્ય વિભાગોમાં સુધારણા, સચિવાલય માટે ‘ઓરમાયુ’ વલણએસોસિએશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ મામલતદાર, PI, SO, PSI, ASI, સિનિયર કારકુન જેવા અનેક સંવર્ગોમાં સીધી ભરતીનું પ્રમાણ ઘટાડી અથવા રદ કરી યોગ્ય કેડર મેનેજમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગે પોતાના વિભાગમાં આ પ્રકારની સમીક્ષા જ કરી નથી. પરિણામે સચિવાલયના DySO સહિત પાયાના કર્મચારીઓ માટે બઢતીની તકો પૂરી રીતે અટકાઈ ગઈ છે. આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા સુધીની ચિમકીસતત અવગણના અને ઉદાસીન વલણના કારણે હવે કર્મચારીઓમાં હતાશા ફેલાઈ છે. જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય, તો તેઓ નાછુટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓ : એસોસિએશનનું માનવું છે કે જો રેશિયો સુધારી યોગ્ય બઢતીની વ્યવસ્થા કરવામાં આવે, તો અનુભવી માનવબળનો ઉપયોગ થઈ શકશે, નીતિ ઘડતર જેવી મહત્વની કામગીરીમાં ગુણવત્તા વધશે અને સરકાર પર વધારાનો નાણાકીય બોજ પણ ટાળવામાં આવશે.
પારડી તાલુકાના ડુંગરી ગામે નાણામંત્રી અને ધારાસભ્ય કનુ દેસાઈની મુખ્ય હાજરીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ડુંગરી બેઠક પર કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડુંગરી ગ્રામ પંચાયતના નવા મકાનના નિર્માણ માટે ખાતમુરત વિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે ગામના આરોગ્ય સુવિધાઓમાં વધારો કરશે. આ અવસરે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ દરેક ગામનો સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણામાં આરોગ્ય, વીજળી, પાણી, શિક્ષણ અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ડુંગરી ગામ માટે છેલ્લા ચાર વર્ષમાં આશરે ₹13 કરોડની ગ્રાન્ટ ફાળવી અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગામમાં રસ્તા, ગટર, તળાવ વિકાસ, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ જેવી સુવિધાઓના કારણે ગામના ચહેરામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વિવિધ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ફરીથી નાણામંત્રી બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શંકરભાઈ પટેલે કરી હતી.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક પરપ્રાંતીય યુવાનના બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂપિયા 2.05 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મેઘપર-પડાણા નજીક સ્વામિનારાયણ રેસીડેન્સીમાં બની હતી. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મેઘપરમાં ભાડેથી રહેતા ભોળાનાથ સુખમય ડે નામના યુવાને પોતાના મકાનમાં સ્ટીલની પેટીમાં રૂપિયા 2,05,000 રોકડા રાખ્યા હતા. તેઓ કામ અર્થે બહાર ગયા હતા. ગઈકાલે સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના રૂમમાં પ્રવેશ કરી આ રોકડ રકમ ચોરી લીધી હતી. આ બનાવ અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ એ.જી. જાડેજા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ પણ લેવામાં આવી રહી છે.
ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય સમન્વયને વધુ મજબૂત બનાવવા માટે 8 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સચિવાલય ખાતે નાગરિક-સૈન્ય મિલન સંમેલન યોજાયું હતું. ‘હર કામ દેશ કે નામ’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા, સંકલન અને નીતિગત નિર્ણય પ્રક્રિયામાં સહકાર વધારવાનો હતો. ભારતીય સૈન્ય અને રાજ્ય સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય મિલનઆ સંમેલનની અધ્યક્ષતા ભારતીય સૈન્યના 11 રેપિડ (એચ)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર ગૌરવ બગ્ગા અને રાજ્ય ગૃહ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક તથા અગ્ર સચિવ નિપુણા તોરવણે સંયુક્ત રીતે કરી હતી. સંમેલનમાં સુરક્ષા વ્યવસ્થાઓ, CBRN તૈયારી, સૈનિક અને માજી સૈનિક કલ્યાણ, તેમજ સેવારત સૈનિકોને પડતી પ્રશાસન સંબંધિત મુશ્કેલીઓ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. રક્ષા, સહકાર અને સંકલન પર કેન્દ્રિત ચર્ચાઆ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ, નર્મદા જળ સંસાધન અને જળ પુરવઠા, મહેસૂલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ, બંદરો અને વાહનવ્યવહાર, ઉદ્યોગ, ખાણ, આરોગ્ય, શહેરી વિકાસ, નાણા, માર્ગ અને મકાન, કાયદા, ગૃહ, તેમજ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિગમ સહિતના વિભાગોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાગરિક પ્રશાસન અને સૈન્ય દળો વચ્ચે સંવાદ કાર્યક્રમના અંતે નાગરિક પ્રશાસન અને સૈન્ય દળો વચ્ચે સંવાદ અને સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. આ સંમેલન રાષ્ટ્રનિર્માણ માટે નાગરિક અને સૈન્ય સંગઠનોની સંયુક્ત શક્તિ અને પ્રતિબદ્ધતાનો ઉત્કૃષ્ટ દાખલો પુરવાર થયું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને આવકાર્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. કુદરતી આફતો અને અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનના કપરા સમયે રાજ્ય સરકારે તત્કાળ આ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણય ખેડૂતલક્ષી સંવેદનશીલતા દર્શાવે છે અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. આ પેકેજ લાખો ખેડૂત પરિવારોને નવી આશા અને હિંમત આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે વિપરીત પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ટેકો આપ્યો છે. મુખ્યમંત્રી પોતે ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ પણ વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી. આ રજૂઆતોના પરિણામે, રાજ્ય સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાવી છે. ખેડૂતોને આપત્તિમાંથી બહાર લાવવા અને નવા પાક લેવામાં મદદરૂપ થવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ સહાય પેકેજ હેઠળ, હેક્ટર દીઠ રૂ. 22,000ની સહાય આપવાનું નક્કી કરાયું છે. આ સહાય પિયત કે બિનપિયત જમીનના ભેદભાવ વગર, તમામ ખેડૂતોને બે હેક્ટર સુધી મળવાપાત્ર છે. આ નિર્ણયથી એક ખેડૂતને મહત્તમ રૂ. 44,000ની સહાય મળશે. સુરેન્દ્રનગર જિલ્લા વિશે વાત કરતા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર ખેતીપ્રધાન જિલ્લો છે. આ સહાય પેકેજનો લાભ જિલ્લાના બે લાખથી વધુ ખાતેદાર ખેડૂતોને મળશે. આ ઉપરાંત, રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે, જે આવકાર્ય છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નાથદ્વારામાં આધુનિક “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તેમણે શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન પણ આપ્યું હતું. આ નવા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને અન્ય ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસ પૂરો પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને ગુરુ વિશાલબાવાની દિવ્ય પ્રેરણા અને અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.આ શુભ પ્રસંગે મુકેશ અંબાણીએ ગુરુ વિશાલબાવા ને વિનંતી કરી હતી કે, સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરાય. તેમણે જણાવ્યું હતું કે, “આપણને વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ — જે સનાતન હિંદુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે. ”શ્રી વિશાલબાવા સાહેબે પણ શ્રી અનંત અંબાણીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ 'વનતારા'ની પ્રશંસા કરતાં તેને અદ્ભુત, અનન્ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્યું હતું. ભગવાન શ્રીનાથજીની દિવ્ય કૃપા અને તિલકાયત પરિવારના પવિત્ર માર્ગદર્શન હેઠળ, “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન” ભક્તિમાર્ગના તેજસ્વી પ્રતિક તરીકે ઉભરી આવશે. તે નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્યોને સમર્પિત એક દ્રષ્ટિવંત સીમાસ્તંભ સાબિત થશે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. અંગેની જાણ થતા ધારાસભ્ય પણ દોડી આવ્યા હતાં. પોલીસે ચાર લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. ધર્મ પરિવર્તન કરાવનારાને 20થી 25 હજાર રૂપિયાં અપાતાનો આક્ષેપહિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે, ધર્મ પરિવર્તન કરાવનાર લોકો આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડતા હતાં. ધર્મ પરિવર્તન કરાવનારાને 20થી 25 હજાર રૂપિયાં સુધી આપવામાં આવતા હતાં અને જે વ્યક્તિ બીજાને જોડે તે માટે પ્રતિ વ્યક્તિ 5 હજાર રૂપિયાની એજન્ટ ફી આપવામાં આવતી હતી. આર્થિક પ્રલોભનને કારણે ઘણા મધ્યમ વર્ગના પરિવારો આ જાળમાં ફસાઈ રહ્યા હતાં. હિન્દુ સંગઠને સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે ઝડપ્યામાહિતી મુજબ, ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતાં. કહેવાય છે ,કે આ પ્રવૃત્તિ છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતત ચાલી રહી હતી. રાત્રે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચી ઘણા લોકોને રંગે હાથ પકડી લીધાં. જાણ થતા જ ડિંડોલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો રાજમહેલ મોલની બહાર એકઠા થઈ ગયા અને “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. મામલો માફીનામા સાથે સમાપ્ત કરાયોહાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ ધારાસભ્ય મનુ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ફરી સામે આવશે, તો હિન્દુ સમાજ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવશે. સંબંધિત લોકોની પૂછપરછઘટનાની માહિતી મળતા જ ઉધના વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. હાલ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત લોકો પાસેથી પૂછપરછ ચાલી રહી છે. સુરતમાં સામે આવેલા આ ધર્મ પરિવર્તનના મામલાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને ધાર્મિક સૌહાર્દ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસો થાય છે. 'આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાંખી લેતા નથી'ધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે. કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે. પણ આ રાષ્ટ્રવિરોધી આ રાષ્ટ્રવિરોધી કામને ક્યારેય પણ અમે સાંખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે, અમારું જે યુવા ધન છે આ યુવા ધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની અંદર લઈ જાય છે. એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં કારણ કે આપણા રાષ્ટ્ર છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે, અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, જ્યારે સુરતની અંદર જ્યારે ઊભી થાય છે, એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે. 'આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું'એ લોકો ગઈકાલે અમે પાંચ-છ વ્યક્તિઓ, સાત-આઠ વ્યક્તિમાં બે વ્યક્તિ જતા રહ્યા છે, પણ એમાં પાંચ વ્યક્તિઓને અમે પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર, એની પત્ની, એની સાથેના એક વ્યક્તિ અને બાકીના પાંચ વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવાવાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે. આ લોકોને સમજાવીને, એમાં એક રાઠોડ પરિવારનો દીકરો હતો, એક મરાઠી પરિવારનો દીકરો હતો, અને એક ઉત્તર ભારતીય પરિવારનો દીકરો હતો. આ બધા જ ભાઈઓને અમે સમજાવી પોસલાવીને એમને જ્ઞાન આપ્યું. એમને ભગવાન શ્રી રામ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ શું છે, આપણી ગીતા શું છે, આપણો આપણો ધર્મ શું છે, આ બાબતની એમને બે કલાક સુધી ચર્ચા કરી અને એમને એમાંથી મુક્ત કરી અને પોતે પોતાના ઘર વાપસી કરવાનું કામ કર્યું છે.
રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આનાથી રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકશે, જેનું ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગાંધીનગર કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્રો પર ચાંપતી નજર આ ખરીદીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે ચાલે તે માટે રાજ્ય સરકારે અદ્યતન વ્યવસ્થા ગોઠવી છે. ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવ કરવામાં આવ્યું છે. જ્યાંથી રાજ્યભરના તમામ ખરીદી સેન્ટરોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા દ્વારા કોઈ પણ સેન્ટર પર થતી ગેરરીતિ કે વિલંબ પર તત્કાળ નજર રાખી શકાશે અને તેનું નિરાકરણ લાવી શકાશે. દહેગામથી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી શરૂઆતગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ ખરીદીનો પ્રારંભ કર્યો હતો અને સ્થળ પર જઈ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. સરકારના નિર્ણય મુજબ ખેડૂતો પાસેથી રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી હાથ ધરવામાં આવી રહી છે. ટેકાના ભાવે શરૂ થયેલી આ ખરીદીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. આ પ્રસંગે કૃષિમંત્રીએ ખેડૂતો સાથે સહજ સંવાદ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે એ માટે ટેકાના ભાવે ખરીદી એક મોટું પગલું છે. ખેડૂતો પણ સરકારે બજાર કરતાં વધુ ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. મગફળીનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263 તેમણે જણાવ્યું કે, હાલ બજારમાં મગફળીનો ભાવ આશરે રૂ. 5,000 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે ટેકાનો ભાવ રૂ. 7,263 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે ખેડૂતોને દર ક્વિન્ટલ દીઠ રૂ. 2,263 જેટલો વધુ લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના ચેરમેન ધનવંતસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ બજારના ભાવો નીચા હોય તેવા સંજોગોમાં પણ ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવો પૂરા પાડવાનો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા MSP મુજબ ખેડૂતોના ખાતામાં સીધા પોષણક્ષમ ભાવો જમા થશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયાનું સંચાલન રાજ્યની સહકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સંગ્રહ અને વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે. .
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થતા ખર્ચ ઉપર નિયંત્રણ લાવવા મહત્વ પૂર્ણ નિર્ણય કરી અલગ અલગ નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ નિયમનું પાલન નહિ કરે તો તેને રૂપિયા એક લાખનો દંડ અને સમાજ વચ્ચે માફી માંગવાની રહેશે તેમજ ફરી નિયમનું ઉલ્લંઘન કરે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે 8 નવેમ્બરને શનિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે પાર્ટી પ્લોટમાં મૂળ હાલર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહિર સમાજના 450 પરિવારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં મુખ્ય 14 મુદ્દાઓ આવરી લેવામા આવ્યા છે અને આ નિયમોનું કોઈ ઉલ્લંઘન કરશે તો સમાજમાંથી બાકાત કરવા સુધી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે આજે સોના ચાંદીના ભાવ પણ એક લાખને પાર પહોંચી ગયા છે અને સમાજમાં દેખાદેખી ના કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પુરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે માટે જરૂરિયાતથી વધુ ખોટા કુ-રિવાજો દૂર કરવા નક્કી કરી બાદમાં સમાજના લોકો સાથે મળી સમાજના દરેક લોકોની ચિંતા કરી 14 નિયમો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નિયમો બધા આગામી હોળી ધુળેટીના પર્વ બાદથી લાગુ કરવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા 14 નિર્ણયો (1) લાડવા પ્રથામાં મોટો જમણવાર કરવો નહીં બેન દીકરી પૂરતું મર્યાદિત રાખવું. (2) કંકુ પગલાં પ્રથા બંધ કરવી. (3) પ્રિવેડિંગ બંધ કરવું. (4) કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં. (5) મામેરામાં રૂ.11,000 થી વધારે છાબમાં મૂકવા નહીં. (6) લગ્ન પ્રસંગે વર પક્ષે છાબમાં જાહેરમાં 7 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં, અને દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વધારેમાં વધારે 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં. (7) માઠા પ્રસંગે ખીચડી તથા બીજા ટકનું જમણવાર ઘર તથા બહેન દીકરી પૂરતું જ કરવું. (8) કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં. (કુટુંબ પરિવાર પૂરતું રાખવું) (9) લગ્ન પ્રસંગમાં કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં. (ફુલેકુ, દાંડિયા રાસ, ડી જે, મામેરા, વરઘોડો, વરતી જાન). (10) શ્રાદ્ધ, પાચમમાં જમણવાર ઘર પૂરતું રાખવું. (11) શ્રીમંત, દીકરી દીકરા વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં. પેંડા વહેચણી પ્રથા બંધ કરવી. (12) કોઈપણ પ્રસંગમાં બહેનો એ પૈસા પાછા વાળવાની પ્રથા સદંતર બંધ કરવી. (13) વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. (14) વર કે કન્યાએ પ્રિવેડિંગ કરવું નહીં
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબા નો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું, જે હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ (9 નવેમ્બર) વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આજે 551 દીકરીને શિક્ષણ સહાયને ચેક અપાયા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા-પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી. 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનું લક્ષ્યઃ પિયુષ દેસાઈઆ અંગે પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. પિયુષભાઈની અનોખી પહેલને લોકોએ બિરદાવીકાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ હિરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ આ ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવાનો છે. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ટેકાના ભાવો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ દીઠ (20 કિલો) રૂ. 1452.60નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવે APMC સેન્ટર પર ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે, કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પ્રથમ ખરીદી કરવામાં આવી હતી, જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચારુ રીતે શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા દ્વારા મૂળી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના યોગ્ય ભાવો મળવાની ખાતરી આપવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, APMC સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં 9 લાખ 30 હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે. જોકે, આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે આ મર્યાદા 200 મણની હતી. ખેડૂતો માવઠાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં, આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 150 મણ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બાકીનો પાક ઓછા ભાવે બજારમાં વેચવો ન પડે. પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે CCTV ગોઠવાયાખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટેના તમામ સરકારી ધારા ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોને તેમના વેચાણ માટે SMS દ્વારા જાણ કરવામાં આવી છે, તે ખેડૂતો આજે નિર્ધારિત ખરીદ કેન્દ્રો પર પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા. ગુણવત્તાના માપદંડો મુજબ મગફળીની ચકાસણી કરીને ખરીદી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ગેરરીતિને રોકી શકાય અને ખરીદી સુચારુ રૂપે ચાલે તે માટે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા દરેક ખરીદ કેન્દ્ર પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ પણ વાંચો: માવઠાંથી 16 હજાર ગામ અને 42 લાખ હેક્ટરના વાવેતરને નુકસાન આ પણ વાંચો: ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી અટકી:ડિસ્ટ્રિક્ટ કમિટીની મંજૂરી ન મળતાં ખેડૂતોને ધક્કા, કાલે શરૂ થવાની આશા દરરોજ 80થી 90 ખેડૂતોને બોલાવવામાં આવશેરાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને સરળતા રહે તે માટે રાજકોટ તાલુકા માટે 3 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં હાલ ખરીદી ચાલુ છે. એટલું જ નહીં, ખેડૂતોને રાજકોટ યાર્ડ સુધી લાંબો ધક્કો ન થાય તે માટે લોધિકામાં પણ 2 કેન્દ્રો અને પડધરીમાં 3 કેન્દ્રો પર અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં પડધરી તાલુકાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ત્રણેય સ્થળે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. રોજની મજૂરીની સગવડતા મુજબ અંદાજે 80થી 90 ખેડૂતોને દરરોજ બોલાવવામાં આવશે. હાલ બજારમાં મગફળીના ભાવ રૂ. 1100થી રૂ. 1150ની આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે સરકારે ટેકાનો ભાવ રૂ. 1452 નક્કી કર્યો છે. આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના 5 એ.પી.એમ.સી. સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદીના શ્રીગણેશ જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યોએક તરફ સરકાર અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થવાને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ખરીદીના જથ્થાની મર્યાદાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખેડૂતોને ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1452 યોગ્ય લાગી રહ્યો છે, પરંતુ ખરીદીના જથ્થાની મર્યાદાથી તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરીદી ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે તેવી માગઅન્ય ખેડૂત મુકેશભાઈ બકૂતરાએ પણ આ મુદ્દે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગયા વર્ષની 200 મણની સામે આ વર્ષે માત્ર 125 મણની ખરીદીના કારણે ખેડૂતોને 50 % જેટલું નુકસાન થઈ રહ્યું છે. આ વર્ષે વરસાદના કારણે પાકને નુકસાન થયું હોવાથી મગફળીનું ઉત્પાદન પણ ઓછું આવ્યું છે, અને ઉપરથી ખરીદીનો જથ્થો પણ અડધો કરી દેવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખરીદીનો જથ્થો વધારીને ગયા વર્ષની જેમ 200 મણ કરવામાં આવે, તેવી અમારી માગ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિર્ણયને આવકાર્યોગઢકા ગામના ખેડૂત ચતુરભાઈ લાલજીભાઈ કલોલાએ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાના નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો છે. જોકે, તેમણે ખરીદી માટે નક્કી કરાયેલી મર્યાદા અંગે થોડો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકારે મગફળીની ખરીદી માટે પ્રતિ એકર 125 મણની જે મર્યાદા રાખી છે, તે આ વર્ષે મગફળીના વધેલા વાવેતરના પ્રમાણમાં ઓછી છે. ચતુરભાઈ કલોલાના મતે, સરકારે આ મર્યાદા વધારીને 150 મણ રાખવાની જરૂર છે. બજારભાવ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં મગફળીની ગુણવત્તાના આધારે બજારમાં 900થી 1100 રૂ. સુધીના ભાવ ચાલી રહ્યા છે. જ્યારે સરકારે ટેકાના ભાવે 1452 રૂ. પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ નક્કી કર્યો છે, તે ખેડૂતો માટે સારો ભાવ છે. જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. તેમાં હાલના બજારભાવ કરતા રૂ. 400 જેટલો ફાયદો હોવાથી હાલ આ બાબતે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. પરંતુ ગત વર્ષે 200 મણની સામે આ વર્ષે 125 મણની મર્યાદા રાખવા બાબતે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માવઠાને કારણે એકતરફ ઉભો પાક બગડી ગયો છે. બીજી તરફ જથ્થાની મર્યાદાના કારણે ખેડૂતોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની રજૂઆત પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે. દિવાળીના વેકેશનમાં નેપાળ ફરવા ગયેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી (ધોરણ 11, વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)નો નેપાળના દુર્ગમ અન્નપૂર્ણા-3 પર્વત તરફના વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે સંપર્ક તૂટી ગયો છે. ટ્રેકિંગનો શોખ બન્યો ચિંતાનું કારણકડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની પુત્રી પ્રિયાંશીને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાનો શોખ હતો. આ શોખને સંતોષવા માટે તેઓએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું. પિતા-પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ વતન કડોદથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાળ જવા રવાના થયા હતા. તેઓનો નિર્ધારિત કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધીમાં પરત વતન આવી જવાનો હતો. હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો31 ઓક્ટોબરની નિર્ધારિત તારીખે તેઓ પરત ન ફરતાં પરિવારમાં ચિંતા વધી હતી. જીગ્નેશભાઈની પત્ની જાગૃતિ બહેને છેલ્લે મોબાઈલ પર વાત કરી હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષા થવાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. જોકે, ત્યાર બાદ તેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને આજદિન સુધી તેમની કોઈ ભાળ મળી નથી. શોધખોળના પ્રયાસો શરૂપતિ અને પુત્રી પરત નહીં ફરતાં ચિંતિત બનેલા પત્ની જાગૃતિ બહેને તાત્કાલિક સ્થાનિક કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ અને પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ, પરિવારે સ્થાનિક નેતાગીરીના માધ્યમથી ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કર્યો છે. હાલમાં નેપાળનું તંત્ર જીગ્નેશભાઈ અને પ્રિયાંશીને શોધવાની તજવીજ હાથ ધરી રહ્યું છે અને તેમના ફોટાઓ પણ ભારત સરકારને પૂરા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ પણ પિતા-પુત્રી ગુમ રહેતા કડોદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, અને વહેલી તકે તેમના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પત્નીએ કહ્યું 23 હજાર ફૂટ ઉપર ફસાયા હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં આ પર્વત પર માત્ર 3 લોકો જ જઇ શક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પિતા-પુત્રીએ આ ટ્રેક પર જવા માટે કોઇ ટ્રેનિંગ લીધી ન હતી. જો કે, તેમની દીકરી 10માં ધોરણમાં ભણતી હતી ત્યારથી ટ્રેકીંગ કરે છે. અત્યારસુધીમાં ઘણી જગ્યાએ ટ્રેકીંગ કરી ચૂકી છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દાહોદ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા 14 ટ્રક અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રેતી સહિત આશરે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી થતા ગેરકાયદેસર રેતી ખનન અને તેને રાજસ્થાન લઈ જવાના મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલે 5 ઓક્ટોબરે વિસ્તૃત સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચારની અસરરૂપે તંત્ર સક્રિય થયું હતું. સમાચારમાં જણાવાયું હતું કે રેતી માફિયાઓ રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી નદીમાંથી તાજી રેતી કાઢીને સીધી ડમ્પરમાં ભરી દેતા હતા. રોયલ્ટી પાસ કે પરમિટ વિના ઓવરલોડ ડમ્પર દેવગઢ બારીયા થઈને લીમખેડા, ઝાલોદ માર્ગે રાજસ્થાનમાં પ્રવેશ કરતા હતા. મોટાભાગના ડમ્પર પર નંબરપ્લેટ પણ હોતી નહોતી. દરરોજ આશરે 150થી 200 જેટલા ડમ્પર આ રૂટ પરથી પસાર થતા હતા. આ ડમ્પરમાંથી ટપકતા પાણી અને ઓવરલોડ વજનને કારણે લીમખેડા નગરનો ઝાલોદ તરફનો સ્ટેટ હાઈવે વારંવાર તૂટતો હતો. રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા હતા અને ડામર ઉખડી ગયું હતું, જેનાથી અકસ્માતનો ખતરો વધ્યો હતો. પથરાયેલી રેતીથી ઉડતી ધૂળને કારણે આરોગ્યને નુકસાન થતું હતું. ગેરકાયદેસર ખનનથી સરકારને લાખો રૂપિયાનું રાજસ્વ નુકસાન થતું હતું. નદી કિનારા ખોદાઈ જવાથી પાણી પ્રદૂષિત થતું હતું અને જળસ્તર ઝડપથી ઘટતું હતું. આરટીઓ અને પોલીસ પેટ્રોલિંગ કરતી હોવા છતાં અત્યાર સુધી કડક કાર્યવાહી થઈ ન હતી. લોકો રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને ઓવરલોડ તેમજ નંબરપ્લેટ વિનાના ડમ્પર પર કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના સમાચાર બાદ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક પગલાં લીધાં અને તપાસની ખાતરી આપી હતી. હાલમાં, દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ચાલુ છે કે કેમ, તેના પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે,કારણ કે સરકારની યોજના મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિતની જણસીઓની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ખરીદીના પ્રથમ તબક્કામાં કુલ 42 કેન્દ્રો માંથી 17 સેન્ટરો પર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે મગ અને અડદ માટે પણ નોંધણી થઈ ચૂકી છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹ 1,452 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન માટે પ્રતિ મણ ₹ 1,065 નો ભાવ નક્કી થયો છે. ખરીદીની મર્યાદાની વાત કરીએ તો, એક ખાતેદાર દીઠ મગફળી અને મગ માટે મહત્તમ 2,500 કિલો અને સોયાબીન માટે પ્રતિ હેક્ટર 650 કિલોની મર્યાદામાં 2,500 કિલોની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે ટેકાના ભાવે માલ વેચવા નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લામાં 1,14,000 થી વધુ ખેડૂતોએ પોતાનો માલ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી મગફળી વેચવા માટે સૌથી વધુ નોંધણી થઈ છે. જે ખેડૂતોને મેસેજ કે કોલ આવ્યો હતો તે પોતાની જણસી લઈને કેન્દ્ર પર પહોંચ્યા હતા. ઇન્ડો એગ્રી કંપનીના જિલ્લા પ્રતિનિધિ દિનેશ સિસોદિયાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ઇન્ડો એગ્રી કંપની દ્વારા નોડલ એજન્સી NCCF ના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવા માટે સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં 17થી વધુ સેન્ટરો કાર્યરત છે અને ખેડૂતોની જરૂરિયાત વધશે તેમ 41થી વધુ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે, જે તબક્કાવાર શરૂ થશે. હાલ જૂનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ અને મેંદરડામાં 1-1, માંગરોળમાં 2, વંથલી અને માણાવદરમાં 3-3 તથા માળીયામાં 4 કેન્દ્રો પર ખરીદીની શરૂઆત થઈ છે. સૌથી વધુ ખેડૂતોએ કેશોદ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવ્યા છે. ખેડૂતોને મળતું વળતર અને નુકસાનથી બચાવ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ગોલાધર ગામના ખેડૂત ગોવિંદભાઈ વિરડાએ તેમની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમને મગફળીનો ભાવ ₹ 1,452 પ્રતિ મણ મળ્યો છે. તેમણે કહ્યું કે, જો ખેડૂતો આ જ મગફળી બજારમાં વહેંચે તો ₹ 21,000 થી ₹ 22,000 મળે. પરંતુ અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ બજારમાં તાત્કાલિક વેચે છે, જેમાં તેમને ₹ 7,000 થી ₹ 8,000 નું નુકસાન થાય છે. તેના બદલે ટેકાના ભાવે વેચાણ કરવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે. અધિકારી જીગર ભટ્ટે પણ આશા વ્યક્ત કરી હતી કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ આ ટેકાના સારા ભાવ મળવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળશે. ગુણવત્તા જાળવવા અને સહકાર આપવા અપીલ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે ખેડૂતોને ખાસ વિનંતી કરી છે કે, છેલ્લે થયેલા કમોસમી વરસાદને લઈને મગફળીને જે નુકસાન થયું હતું, તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સારી અને ગુણવત્તાવાળી મગફળી જ ટેકાના ભાવે વેચવા માટે લાવવી. તમામ સેન્ટરો પર કઈ ગુણવત્તાવાળી જણસી ટેકાના ભાવે વેચી શકાય તેની માહિતી આપવામાં આવી છે. તેમણે ખેડૂતોને શિસ્તબદ્ધ રહેવા અને જ્યારે મેસેજ કે કોલ આવે ત્યારે પોતાની જણસીનું યોગ્ય ગ્રેડિંગ કરી અને વેચવા માટે લાવવા ખાસ વિનંતી કરી છે,જેથી ખરીદીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે..
કચ્છના ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ-બરેલી ટ્રેનના ગાર્ડ કોચમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ 30 મિનિટ સુધી ભચાઉ સ્ટેશને ઉભી રહી હતી. ઈકાલે રાત્રે ભુજથી બરેલી જતી ટ્રેન નંબર 14322 ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડ કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સંભવિત શોર્ટ સર્કિટના કારણે વાયરિંગ બળવાની વાસ સાથે ધુમાડો ફેલાયો હતો. આ ઘટનાને પગલે બાજુના જનરલ કોચમાં સવાર મુસાફરોને સલામતીના ભાગરૂપે પ્લેટફોર્મ પર ઉતરવાની સૂચના અપાઈ હતી. ગભરાટમાં મુસાફરો ઉતાવળે કોચમાંથી બહાર નીકળવા પડાપડી કરતા થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી કોચની તપાસ કરવામાં આવી હતી. ભચાઉ રેલવે સ્ટેશનના ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે 8:41 વાગ્યે ટ્રેન આવતા ગાર્ડ કોચમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો જોવા મળ્યો હતો. ગાર્ડ દ્વારા જાણ કરાતા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. રેલવે કર્મચારીઓએ સમસ્યાનો ઉકેલ લાવ્યા બાદ ટ્રેનને આગળના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોકે, આ સામાન્ય ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ જતાં કોચમાં આગ લાગવાની અફવાઓ ફેલાઈ હતી, જેના કારણે મુસાફરો અને ઉપસ્થિત લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. બાદમાં બધું સલામત હોવાની ખાતરી થતાં સૌએ રાહત અનુભવી હતી.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લગ્નના થોડા સમય બાદ પિયરમાંથી કરિયાવર ના લાવી હોવાનું કહી પતિ સહિત સાસરિયા પક્ષના લોકો માર મારતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. લોન લઈને ખરીદેલા મકાન પર પતિએ કબજો કરી બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકતા મહિલાએ પોલીસ સ્ટેશન જવાની ફરજ પડી છે. કરિયાવરમાં કંઈ ન લાવ્યાનું કહી ત્રાસ આપતા હોવાનો આક્ષેપમહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 5 લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન મનીષ (નામ બદલાવ્યું છે) સાથે રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદ બે દીકરીઓનો પણ જન્મ થયો હતો. જે બાદ અચાનક ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું અને લગ્નના થોડા સમય બાદ સાસરિયા પક્ષના લોકો મહિલા સાથે નાની નાની બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. જે બાદ સાસુએ પતિને ઉશ્કેરતા મહિલા સાથે પતિએ મારામારી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લગ્ન કર્યા ત્યારે પિયરમાંથી કંઇ કરિયાવર ના લેવાનું કહી સાસરિયા પક્ષના લોકો મહિલાને માનસિક ત્રાસ આપતા હતા. સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ એકલા રહેવાનું નક્કી કર્યું હતું. જેથી મહિલાએ પોતાના દાદી અને પિતા પાસે પૈસા લઈને અને બાકીના રકમની લોન કરાવી એક મકાન લીધું હતું. તેમજ લોનના હપ્તા પણ મહિલા પોતે ભરતી હતી. નવા મકાનમાં સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી મહિલા પોતાના પતિ સાથે અલગ રહેવા માટે જતી રહી હતી. ત્યાં પણ થોડા સમય બાદ સાસરીયા પક્ષના લોકોની અવરજવર શરૂ થઈ જતા ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપપિયરમાંથી આણુ કેમ લાવી નથી તેવું કહી મકાન સાસુના નામે કરી દેવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ સાસુના નામે ઘર કરાવવા માટે માર પણ મારવામાં આવતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે ઘર તૂટે નહીં તે ડરથી મહિલા આટલા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. પરંતુ 20 ઓક્ટોબરના મહિલાને માર મારી તેના પતિએ બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી દીધી હતી. જેથી મહિલા પોતાના પૈસાથી મકાન લીધા બાદ માતા - પિતા સાથે રહેવા માટે મજબૂર બની છે.જેના કારણે મહિલાએ આખરે કંટાળીને પતિએ પોતાના ખરીદેલા મકાન પણ કબજો કરી દીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ પતિ સહિતના સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં SIR હેઠળની મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોએ વાંધો વ્યક્ત કર્યો છે. મહેસાણામાં શિક્ષકોના પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો અંગે વાંધો વ્યક્ત કરીને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પાંચ મુખ્ય મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, સ્કૂલના સમય દરમિયાન આ કામગીરી કરવી તેમના માટે અશક્ય છે. શિક્ષક સંઘે ખાસ કરીને એવી માગણી કરી છે કે, સ્કૂલના સમય દરમિયાન શિક્ષકોને મતદાર યાદી સુધારણાની કામગીરી ન સોંપવામાં આવે. તેમની દલીલ છે કે, સ્કૂલ કાર્યની સાથે જ આ કામગીરી કરવી શક્ય નથી, તેમ છતાં પરિપત્ર કરીને શિક્ષકોને સ્કૂલ કાર્ય દરમિયાન જ આ કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. BLO શિક્ષકોને મદદ કરવા અન્ય કર્મચારીઓની ફાળવણી કરવા માગઆ ઉપરાંત સંઘે એવા શિક્ષકોનો પણ મુદ્દો ઉઠાવ્યો છે, જેઓ 10% વતન હુકમોથી ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષકો માટે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની વધારાની કામગીરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કામગીરી સરળ બનાવવા માટે BLO શિક્ષકોને મદદ કરવા માટે અન્ય કર્મચારીઓની ફાળવણી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. વધુમાં શિક્ષકોને મતદારો તરફથી ઝડપથી ફોર્મ ભરીને સહકાર ન મળતો હોવાની સમસ્યા પણ રજૂ કરવામાં આવી છે. જે કામગીરી સમયસર પૂર્ણ કરવામાં અવરોધરૂપ બને છે. આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એક ઘર પાછળ અડધો કલાક નીકળે છે, કામ પૂર્ણ થઈ શકે તેમ નથીઃ પંકજકુમારઆ મામલે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહા સંઘના ઉપાધ્યક્ષ પંકજકુમાર આઈ પટેલએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લાની અંદર જે શિક્ષકોને SIRની કામગીરી આપવામાં આવી છે તે કામગીરીની અંદર પડતી વિવિધ મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે જિલ્લા ચૂંટણી અને મતદાર નોંધણી અધિકારીને મુલાકાત લઈ અમારા બીએલઓ શિક્ષક મિત્રો છે, તેમને પડતી વિવિધ મુશ્કેલીઓને દૂર કરવી છે. એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકને ડોર-ટુ-ડોર જઈને દરેક મતદારના ફોર્મ આપવાના છે. એ ફોર્મની અંદર દરેક ઘરના સભ્યની સહી લેવાની છે અને એ ફોર્મ ભર્યા પછી પાછા પરત કલેક્ટ કરવાના છે. એની અંદર ફોટોગ્રાફ્સ પણ ચિપકાવવાનો છે અને સાથે એને અન્ય 12 ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ એમનું જોડવાનું છે. ત્યારે ઘરે-ઘરે કેટલાક લોકો પાસે ઝેરોક્ષો નથી, કોઈકની પાસે ફોટા નથી. આમ કર્મચારી પોતે પોતાનો અડધો કલાકથી વધારે સમય એક ઘર પાછળ ખર્ચે તો એ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે તેમ નથી. ‘સ્કૂલની કામગારી બાદ બે કલાકથી વધારે શિક્ષકો કામગીરી કરી શકે નહીં’બીજો પ્રશ્ન છે કે, શિક્ષક શાળામાં નોકરી કરે કે કામગીરી કરે? સ્કૂલના છૂટ્યા પછી કામગીરી કરવા જાય તો એને બે કલાકથી વધારે કામગીરી કરી શકે નહીં. પોતાના ઘરે નાના બાળકો પણ હોય અને એમને ઘરે પરિવારને પણ સાચવવાનો હોય છે. એટલે ચાલુ સ્કૂલે આ કામગીરી કરી શકે તો શિક્ષક સરળતાથી આ કામ પૂર્ણ કરી શકે. બીજુ કે, બીએલઓ ઓર્ડર જે કરવામાં આવ્યા છે તે વતનનું સરનામું જોઈને કરવામાં આવ્યા છે. વતનના સરનામાંથી શાળાનું અંતર ઘણું વધારે હોવાથી એ શિક્ષક કામગીરી કેવી રીતે કરી શકે? એટલે નોકરી ના કરતા હોય એવા ગામોમાં પણ આપવામાં આવે છે.
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોન:1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો, તંદુરસ્ત પારડીનો સંદેશ
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા પારડી શહેરમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત પારડીના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ ત્રીજી વખત રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો હતો. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક-યુવતીઓ અને વડીલોએ ભાગ લીધો હતો. દોડવીરોએ 5 KM, 10 KM અને 21.1 KM એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના ડૉક્ટર્સ, ઉદ્યોગપતિઓ, પારડી પોલીસના જવાનો તેમજ અન્ય યુવક-યુવતીઓ અને મહિલાઓએ આ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે પારડીના રહીશો અને બાળકોએ ઠેરઠેર તાળીઓના ગડગડાટથી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 2 કેન્દ્રો પર આ ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણ 1452 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવશે. પ્રથમ દિવસે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા અંતર્ગત જામનગર જિલ્લાના APMC સેન્ટરો પર મગફળી ઉપરાંત અળદ, મગ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમજ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે. ખરીદી કેન્દ્રો પર CCTV કેમેરા, કોમ્પ્યુટર, વજન કાંટા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતોને ફોન દ્વારા ક્રમવાર બોલાવવામાં આવશે જેથી ખરીદી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. જામનગર જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોવાથી, અત્યાર સુધીમાં જામનગર તાલુકામાં 19,000 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 સુધીના જમીન મહેસુલ લોકલ ફંડ સેસની ₹1.57 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 154ની અનુસૂચિ ત્રણ મુજબના વિકાસ કામોનું આયોજન કરવા બાબતે બહાલી અપાઈ હતી. ખાસ સભાના પ્રારંભે સામાન્ય સભાની કાર્યનોંધને મંજૂરી અને અગાઉના નિર્ણયો પર લેવાયેલા પગલાંનો અહેવાલ અવલોકનમાં લેવામાં આવ્યો હતો. આ પછી જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની મળેલી બેઠકોની કાર્યવાહી નોંધને બહાલી આપવાના મુદ્દે કોંગ્રેસના નેતા અશ્વિન પટેલે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. પટેલે નિયત સમય મુજબ 3 મહિને મીટિંગ ન કરનાર શાખાધિકારીઓને નોટિસ આપવા માટે રજૂઆત કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ વિપક્ષ નેતા અશ્વિન પટેલની કાર્યશૈલીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય સુધી વિરોધ પક્ષના નેતા બની રહે તેવું ઈચ્છીએ, કારણ કે તેમની પાસેથી ઘણું શીખવાનું છે. જિલ્લા પંચાયતના વાર્ષિક અંદાજપત્રમાં સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2024-25માં મળેલ જિલ્લા કક્ષાની સવા બે કરોડ ઉપરાંતની ઉપલબ્ધ ગ્રાન્ટનો અંદાજપત્રમાં સુધારો કરવા અને તેમાંથી વિકાસના કામોનું આયોજન કરવા બાબતે ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ પ્રમુખને સત્તા સોંપવાની દરખાસ્ત કરી હતી, જેને સર્વાનુમતે મંજૂર રખાઈ હતી. જોકે, વિપક્ષના અશ્વિન પટેલે આ દરમિયાન બીજી કોઈ ગ્રાન્ટ આવે તો તેના આયોજનને પણ આમાં સમાવેશ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રાધનપુર તાલુકાની જેતલપુરા જૂથ ગ્રામ પંચાયતમાંથી જેતલપુરા અને વડનગર ગ્રામ પંચાયતનું વિભાજન કરી અલગ-અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે મળેલી દરખાસ્તને વિકાસ કમિશનરમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા, સરસ્વતીના ધારુસણ અને હારીજના જુના કલાણા ખાતે નવીન સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટેની દરખાસ્તને પશુપાલન નિયામક ગાંધીનગરને મોકલતા પહેલા સામાન્ય સભાની બહાલી જરૂરી હોય, તેને મંજૂરી આપવામાં આવી હતી. સભામાં વર્ષ 2024-25ના સુધારેલા અને 2025-26ના વાર્ષિક અંદાજપત્રના મુખ્ય સદરમાં ગ્રાન્ટની રકમમાં સુધારો કરવા અને નવી જોગવાઈ ઉમેરવા બાબતે પણ મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઉપપ્રમુખ ગોવિંદ માલધારી, ઈન્ચાર્જ ડીડીઓ વી.સી. બોડાણા સહિત શાખાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના તળાવમાંથી 6 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં આ બાળક અગાઉ ત્રણ દિવસ પહેલા ગુમ થયું હતું અને તે બાબતે પરિવારે સાવલી પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગત રોજ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સાવલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાવલીના પરથમપુરા ગામના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળ્યોવડોદરાના સાવલીના પરથમપુરા ગામની સીમ વિસ્તારમાં આવેલ તળાવમાંથી 6 વર્ષીય પુરુષ બાળકનો મૃતદેહ મળી આવતા સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પી.એમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાળકનું નામ ભવ્ય ઉર્ફે કાલું જીતેન્દ્ર અંબાલાલ રાઠોડિયા છે. આ બનાવને લઈ સાવલી સહિત વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લા પોલીસની તપાસ એજન્સીઓ દોડી ગઈ હતી. 06 નવેમ્બરે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધાયો હતોઆ બનાવ સંદર્ભે ગત તારીખ 06 નવેમ્બરના રોજ સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. બાળકનું મોત ડૂબી જવાથી થયું કે બીજુ કંઈ રહસ્ય ?આ બનાવ સંદર્ભે હાલમાં સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકનું મોત પ્રાથમિક દૃષ્ટિએ ડૂબી જવાથી થયું છે, પરંતુ આ ઘટનામાં હકીકત છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ:જિલ્લામાં 35,106 ખેડૂતોએ નોંધણી કરાવી, પ્રતિ મણ ₹1452 ભાવ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ ₹1452 ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. આમાં પોરબંદર તાલુકાના 15,645, રાણાવાવના 7,665 અને કુતિયાણાના 11,846 ખેડૂતોનો સમાવેશ થાય છે. ખરીદીનો શુભારંભ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા. જોકે, ખરીદીના પ્રથમ દિવસે માત્ર ત્રણ ખેડૂતો જ પોતાની મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. એક ખેડૂતે જણાવ્યું કે બરડા અને બરડી વિસ્તારમાં 70 થી 80 ટકા પાકને નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે.
ઓનલાઈન છેતરપિંડી, 6 સામે ફરિયાદ:બોટાદ LCB એ 4ની ધરપકડ કરી, 2ની શોધખોળ ચાલુ
બોટાદ LCB પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. આ મામલે કુલ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા 6 પૈકી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સામે ઓનલાઈન છેતરપિંડીની અરજીઓ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય શખ્સો પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને પૂરા પાડતા હતા. તેઓ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં મેળવી તેની લેવડદેવડ કરતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અળવ ગામના પરેશભાઈ ભરતભાઈ વિદાણી, સુનિલ સમરથ બાવળીયા, ભવદિપ અશોક બાવળીયા અને નિલેશ રમેશ બાવળીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જયેશ વશરામ બાવળીયા અને શૈલેષ જેરામ ભાળાલા નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

24 C