SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

મહેસાણામાં પ્રાકૃતિક ખેતી મિશન માટે મહત્વપૂર્ણ બેઠક:બ્લોક લેવલ કમિટીએ કૃષિ સખી અને ફાર્મર માસ્ટર ટ્રેનરની પસંદગી કરી

મહેસાણા તાલુકા પંચાયત ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત બ્લોક લેવલ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગ આપવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, પ્રાકૃતિક કૃષિના અસરકારક અમલીકરણ માટે તાલુકા કક્ષાએ બ્લોક લેવલ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી મિશન અને નોન-મિશન ક્લસ્ટરમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીની પસંદગી કરે છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર 'આત્મા' મહેસાણા દ્વારા પસંદ કરાયેલા કૃષિ સખી અને ફાર્મર માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિ અભિયાનનો પ્રચાર-પ્રસાર કરશે. બેઠકમાં અધ્યક્ષ, સભ્ય સચિવ અને અન્ય સભ્યોની હાજરીમાં વાર્ષિક કાર્ય યોજના (એન્યુઅલ એક્શન પ્લાન) અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ સર્વાનુમતે કૃષિ સખીની યાદીને મંજૂરી આપી. સાથે જ પ્રાકૃતિક ખેતીનો અનુભવ ધરાવતા એક અનુભવી ખેડૂતની પણ પસંદગી કરવામાં આવી. આ પહેલથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:27 am

હીરા ઉદ્યોગમાં મોટી રાહત:સહજાનંદ એક્સપોર્ટમાં કારીગરોને 8-9% પગાર વધારો મળ્યો, હડતાળનો અંત

નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સહજાનંદ એક્સપોર્ટમાં રત્ન કલાકારોની હડતાળનો સફળતાપૂર્વક અંત આવ્યો છે. કંપનીના સંચાલકે કર્મચારીઓના પગારમાં 8થી 9 ટકાનો વધારો સ્વીકાર્યો છે. આ હીરા કંપનીમાં 800થી વધુ રત્ન કલાકારો કાર્યરત છે. સવારે કંપની માલિકે નવા ભાવ દર્શાવતું બોર્ડ મૂક્યું હતું. તેમાં તળિયાના ભાવ રૂ.11, પેલના રૂ.6.50 અને મથાળાના ભાવ રૂ.7.50 દર્શાવ્યા હતા. આ ભાવોથી નારાજ કારીગરોએ દિવાળી પહેલાના જૂના ભાવો ચાલુ રાખવાની માંગ કરી હતી. પ્રારંભમાં માલિકે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કારીગરોને કામ કરવું હોય તો કરવા, નહીંતર જતા રહેવા કહ્યું હતું. આ પછી કારીગરોએ સંકુલમાં બેસીને 'ભાવ વધારો કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. મોડી સાંજે સરકારી શ્રમ અધિકારીની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. માલિકે પગાર વધારો આપવા ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ આપવાની લેખિત ખાતરી આપી હતી. સુરતમાં પણ હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોએ પગાર વધારાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:26 am

ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નિધન:92 વર્ષની વયે નવસારીમાં અંતિમ શ્વાસ, ગાંધીજીના ખોળામાં રમેલા નીલમબેને ત્રણ પુસ્તકો લખ્યા

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 92 વર્ષની વયે નવસારીમાં નિધન થયું છે. તેઓ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના સંતાન હતા. નીલમબેન છેલ્લા 37 વર્ષથી નવસારીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરીખ સાથે રહેતા હતા. સોમવારે વયોવૃદ્ધ થવાના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સવારે નવસારીના વીરાવળ સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી. આ પ્રસંગે શહેરના અનેક બુદ્ધિજીવીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નીલમબેનનું બાળપણ અને શિક્ષણ મુંબઈમાં થયું હતું. તેમણે અનેક વર્ષો વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્યા તરીકે સેવા આપી હતી. 1988થી તેઓ નવસારીમાં સ્થાયી થયા હતા. નાનપણમાં મુંબઈમાં રહેતા ત્યારે તેઓ મહાત્મા ગાંધીજીને મળ્યા હતા અને તેમના ખોળામાં રમ્યા હોવાનું જાણવા મળે છે. નીલમબેને ત્રણ પુસ્તકો લખ્યા હતા. તેમનું 'ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી' પુસ્તક ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ પુસ્તક તેમના દાદા હરિલાલ વિશે ફેલાયેલી ખોટી માહિતીનો જવાબ હતું. તેમણે 'ગાંધીજીના સહસાધકો' અને 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો' નામના પુસ્તકો પણ લખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:25 am

ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ:આજે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા, સવારે 28 ડિગ્રી નોંધાયું

ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે બુધવારે સવારે તાપમાનનો પારો 28 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ 42 ડિગ્રી સુધી થઈ શકે છે. ગઈકાલે મંગળવારે એપ્રિલના પ્રથમ દિવસે જ શહેરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. રાત્રિનું તાપમાન પણ વધીને 22 ડિગ્રી થયું હતું. હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. જો વાદળછાયું વાતાવરણ નહીં સર્જાય તો નગરજનોએ હિટવેવ માટે તૈયાર રહેવું પડશે. માર્ચ મહિનામાં ગાંધીનગરમાં તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ થોડી રાહત મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી દિવસ અને રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે. આજે સાંજે તાપમાન 28 ડિગ્રી રહેવાની સંભાવના છે. સાંજના સમયે 8 માઈલ પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાવાની આગાહી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:24 am

2600ની ચોરી કરી અને 3 લાખનું નુકસાન કર્યું:વડોદરાના વાઘોડિયામાં ચોરે ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાડી, સ્થાનિકોએ ચોરને ઝડપી પોલીસ હવાલે કર્યો

વડોદરાના વાઘોડિયામાં આવેલા જનરલ સ્ટોરમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોરે દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી દીધી હતી. દુકાનમાં આગ લગાવ્યા બાદ ભાગવા જતાં સ્થાનિકોએ તેણે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયામાં મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. છત પરથી ચોર ઘૂસ્યો હતોમળેલી માહિતી પ્રમાણે વાઘોડિયામાં મોટા પાઠક ફળિયામાં રાજેશભાઇ ગોવિંદભાઈ શાહ પરિવાર સાથે રહે છે. તેઓની વાઘોડિયા બજારમાં સાંઈ જનરલ સ્ટોર્સ નામની દુકાન આવેલી છે. તેઓની દુકાનમાં મોડી રાત્રે એક ચોર છત ઉપરથી દુકાનમાં ઘૂસ્યો હતો. અને દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કરી હતી. ચોર ભાગવા જતા સ્થાનિકોએ પકડ્યોચોરી કર્યા બાદ ચોરે દુકાનમાં આગ લગાવી દીધી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં તે જે રસ્તેથી દુકાનમાં ઘૂસ્યો હતો તે રસ્તાએથી ભાગવા જતાં સ્થાનિકો તેને જોઇ ગયા અને તેને દબોચી લીધો હતો. બીજી બાજુ દુકાનમાંથી આગની જ્વાળાઓ નિકળતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનનો તમામ સામાન બળીને ખાકઆગના બનાવની જાણ દુકાન માલિક રાજેશભાઇ શાહને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ એપોલો ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદ લઇ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબુમાં આવે તે પહેલાં દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો. ચોર એસટી ડેપો પાસે રહીને છૂટક મજૂરી કરે છેઆગના બનાવને પગલે વાઘોડિયા પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થાનિક લોકોએ આગ લગાડનાર ચોરને પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસ તપાસમાં આગ લગાડનાર ચોર વાઘોડિયા એસ.ટી. ડેપો પાસે રહેતો અને છૂટક મજૂરી કામ કરતો ભરત શંકરભાઇ રાઠોડીયા ( ઉ.વ. 20 )હોવાનું બહાર આવ્યું હતું. 3 લાખનું નુકસાન થયુંઆ બનાવ અંગે દુકાન માલિક રાજેશભાઇ શાહે જણાવ્યું હતું કે, દુકાનમાં ઘૂસેલા ચોરે આગ લગાવી હતી. તેની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આગમાં તમામ સામાન બળીને ખાક થઇ ગયો છે. અંદાજે રૂપિયા 3 લાખનું નુકસાન થયું છે. સ્થાનિકોની મદદથી બે કલાકમાં આગ કાબૂમાં લીધીઆગ બુઝાવવા માટે આવેલા એપોલો ટાયર કંપનીના ફાયરમેન કિશન પરમારે જણાવ્યું હતું કે, આગના બનાવનો કોલ મળતા સાથી સુનિલભાઇ સાથે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદ લઇ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:22 am

કચ્છમાં નશાનો નાશ:નલિયા પોલીસે 1.75 લાખનો વિદેશી દારૂ નષ્ટ કર્યો, 302 વ્હિસ્કી બોટલ અને 431 બિયર ટિનનો સમાવેશ

નલિયા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અલગ-અલગ કેસમાં જપ્ત કરેલો વિદેશી દારૂનો મુદ્દામાલ નષ્ટ કર્યો છે. બોર્ડર રેન્જ ભુજના IGP ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ-ભુજના SP વિકાસ સુંડાની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા વિભાગના ઇન્ચાર્જ DSP આર.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PI વી.એમ. ઝાલાની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમમાં કુલ 302 વ્હિસ્કી બોટલ અને 431 બિયર ટિન નષ્ટ કરવામાં આવ્યા હતા. વ્હિસ્કી બોટલની કિંમત રૂ. 1.32 લાખ અને બિયર ટિનની કિંમત રૂ. 43,100 હતી. આમ, કુલ રૂ. 1.75 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો હતો. મુદ્દામાલ નષ્ટ કર્યા બાદ બચેલા કાચના ટુકડા અને ખાલી ટિનની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાંથી રૂ. 150ની રકમ ઉપજી હતી. આ કામગીરીમાં DSP આર.ડી. જાડેજા સહિત UHC અરુણકુમાર ડાભી, WLRPC પ્રિયંકાબેન ચૌધરી, LRPC વિષ્ણુભાઈ રબારી, ચેતનસિંહ વાઘેલા, PI વી.એમ. ઝાલા, UHC મુકેશભાઈ ચૌધરી, WLRPC વર્ષાબેન ચૌધરી, LRPC જીતેન્દ્રસિંહ ડોડિયા અને મનીષ ગઢવી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:09 am

ભાવનગરમાં તાપમાનમાં ઘટાડો:લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 24 ડિગ્રી થયું, આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા

ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં સતત વધારો નોંધાયા બાદ આજે તાપમાનના પારામાં 2.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભેજનું પ્રમાણ 23 ટકા રહ્યું છે અને 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગત સપ્તાહના આંકડા જોઈએ તો, 29 માર્ચે મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી હતું. 30 માર્ચે મહત્તમ તાપમાન વધીને 38.2 ડિગ્રી થયું હતું. 31 માર્ચે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. 1 એપ્રિલે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે અને રાત્રે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. જોકે, બપોરના સમયે હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી બે-ચાર દિવસમાં ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 10:05 am

મધરાતે સિંહ ઘરમાં ઘૂસ્યો VIDEO:રાજુલામાં સિંહ ઘરમાં ઘૂસી જતાં પરિવારના છાતીના પાટિયા બેસી ગયા, પાડોશીઓએ હાકલા-પડકારા કરીને ભગાડ્યો

દેશની શાન ગણાતા સાવજોની સંખ્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ જોવા મળી રહી છે, પરંતુ હવે દિનપ્રતિદિન સાવજો ઘર સુધી ઘૂસવામાં અચકાતા નથી તે અતિ મુશ્કેલી સર્જી શકે છે. ગતરાત્રે રાજુલાના કોવાયા ગામમાં સિંહ ઘરમાં ઘૂસી જતાં પરિવારના છાતીના પાટિયા બેસી ગયા હતા. જોકે. પાડોશીઓએ હાકલા-પડકારા કરીને ભગાડતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના શ્વાસ અધ્ધ થઇ ગયારાજુલા પંથકમાં આવેલા કોવાયા ગામમાં રાત્રીના સમયે મુળુભાઈ રામભાઈ લાખણોત્રાના રહેણાંક મકાનમાં પરિવાર સુતો હતો અને ઉપરના ભાગેથી સિંહ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી જતાં પરિવારના શ્વાસ અધ્ધ થઇ ગયા હતા. જોકે, આસપાસના લોકોને આ ઘટના ધ્યાને આવતા સાવચેતી રીતે લોકો એકઠા થયા હતા અને હાકલા-પડકારા કરીને સિંહને મહામુસબીતે બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી કોવાયા ગ્રામજનોમાં ફફડાટ સાથે રોષ ફેલાયો હતો. જ્યારે અન્ય 5 જેટલા સિંહો પણ ગામની બજારોમાં ફરતા હતા. અગાઉ પણ રહેણાંક મકાનમાં સિંહો ઘૂસ્યા હતાઅગાઉ પણ રાજુલાના કોવાયા ગામના રહેણાંક મકાનમાં સિંહો ઘૂસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તે સમયે પણ રાત્રિના સમયે એકથી બે સિંહો છલાંગ લગાવી ઘરની અંદર આવ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ ગેટ ખોલી દેતા સિંહો બહાર નીકળી ગયા હતા. આવી ઘટનાઓ હવે વધી રહી છે જેના કારણે ગ્રામજનોમાં નારાજગી સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોમાં ભય અને રોષની લાગણીકોવાયા ગામ દરિયા કિનારે સ્થિત છે અને અહીં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિત અનેક ઉદ્યોગો કાર્યરત છે. નજીકમાં પીપાવાવ પોર્ટ પણ આવેલું છે. દરિયાકાંઠાનો વિસ્તાર સિંહો માટે અનુકૂળ હોવાથી તેમનો વસવાટ અને અવરજવર વધી રહી છે. આ પરિસ્થિતિથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:56 am

ગુજરાત માથે સંકટનાં વાદળ:17 જિલ્લામાં વરસાદનો ખતરો, 3 જિલ્લામાં હીટવેવની આગાહી, રાજકોટ અગનભઠ્ઠી બન્યું

રાજ્યમાં હવામાન વિભાગે આજે 3 જિલ્લામાં હિટવેવની જ્યારે 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. મંગળવારે 1 એપ્રિલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે પણ અનેક શહેરોમાં ગરમી અગનગોળા વરસાવશે. મંગળવારે 42.2 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે પણ રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિત 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પોરબંદર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ તેમજ કચ્છ, ભાવનગર અને દીવમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત 17 જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે 17 જિલ્લામાં છુટાછવાયા સ્થળે વરસાદની આગાહીમધ્ય મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ભેજ આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 2 એપ્રિલ 2025ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ મધ્ય વરસાદ અને ઝાપટાં વરસી શકે છે. આજે ત્રણ જિલ્લામાં હિટવેવની શક્યતાકમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં આજે 2 એપ્રિલના રોજ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ તેમજ કચ્છ, ભાવનગર અને દીવમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મોટાભાગના શહેરોમાં આજે તાપમાનનો પારો 40 પર પહોંચશે મંગળવારે 42.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રાજ્યમાં આ ઉનાળામાં અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં ગરમીનો પારો ઊંચો નોંધાઈ રહ્યો છે. આજે( 1 એપ્રિલે) 42.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 6 સેન્ટરો પર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. તો પોરબંદર, કંડલા અને દીવમાં હીટવેવની અસર વર્તાઈ હતી. 1 એપ્રિલે રાજ્યના શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ​​​​​​એપ્રિલમાં ગરમી 42 ડિગ્રી પાર જશે, 8 દિવસ હીટવેવની શક્યતા, માર્ચમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં 6 દિવસ હીટવેવ રહ્યો રાજ્યમાં માર્ચ મહિનામાં સામાન્ય રીતે અડધા દિવસથી બે દિવસ હીટવેવ રહેતો હોય છે, પરંતુ આ વખતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ હીટવેવ રહ્યો. જે દેશના અન્ય વિસ્તારો કરતાં સૌથી વધુ છે. માર્ચમાં સામાન્ય રીતે 2 મીમી વરસાદ થવાની શક્યતા હોય છે, પરંતુ રાજ્યના કોઈપણ વિસ્તારમાં વરસાદ પડ્યો નથી. ભારતીય હવામાન વિભાગે સોમવારે એપ્રિલથી જૂન સુધીના હવામાનનું અનુમાન જાહેર કર્યું, જેમાં જણાવાયું છે કે આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે, સાથે વરસાદ પણ સામાન્ય કરતાં વધુ પડી શકે છે, એટલે કે ગરમીના દરેક રાઉન્ડ સાથે વરસાદની શક્યતા રહેશે. એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાન 30.3થી 40.4 ડિગ્રી રહે છે, પરંતુ આ વખતે એપ્રિલમાં તાપમાન 1થી 3 ડિગ્રી વધુ રહી શકે છે, એટલે કે પારો 42 ડિગ્રી વટાવી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય રીતે હીટવેવ અડધા દિવસથી 6 દિવસ રહેતો હોય છે. એની સામે આગામી ત્રણ મહિનામાં 10 દિવસ હીટવેવ ફૂંકાઈ શકે છે. એપ્રિલમાં સામાન્ય રીતે અડધા દિવસથી 2 દિવસ હીટવેવ રહેતી હોય છે, પરંતુ ચાલુ મહિને 8 દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. હીટવેવનો પ્રકોપ દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વધુ રહી શકે છે. બીજી તરફ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એપ્રિલમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ શક્યતા 33 ટકાથી 55 ટકા સુધીની છે, જેમાં ઉત્તર, મધ્યપૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:55 am

'તમે બધા આવો વનતારાની મુલાકાતે':અનંત અંબાણીએ બાળાઓને વચન આપ્યું, નાસ્તા અને ફ્રુટ આપ્યા; પદયાત્રાના છઠ્ઠા દિવસે​​​​​​​ 60 કિ.મીનું અંતર કાપ્યું

રિલાયન્સ ગૃપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. આજે છઠ્ઠા દિવસે રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટીયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટીયા પાસે પૂરી કરી હતી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંત અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે, તમે બધા ચોક્કસથી વનતારાની મુલાકાતે આવજો. બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી સ્વાગત કર્યુંછેલ્લા છ દિવસથી એટલે કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે અને હર્ષભેર સ્વાગત કરે છે. આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ કંકુ-તિલક, ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. બાળાઓને વનતારા બોલાવવાનું વચન આપ્યુંઅનંત અંબાણીની પદયાત્રાના છઠ્ઠા દિવસે બાળાઓએ અનંત અંબાણીને વનતારાની વિઝીટ કરવાનું કહ્યું તો અનંત અંબાણીએ સામે જવાબ આપતા કહ્યું કે, તમે બધા આવો તમને વન તારાની વિઝીટ કરાવીશ. આ દરમિયાન નિધિ દાવડા નામની એક બાળકીએ અનંત અંબાણીને એક કવર આપ્યું હતું અને કહ્યું હતું કે, આમાં અમારા માતા-પિતાનો કોન્ટેક નંબર છે. તમે આમાં કોન્ટેક કરીને અમને વનતારાની મુલાકાત કરવા બોલાવજો. ત્યારે અનંત અંબાણીએ કવર સ્વિકારીને હસતા હસતા ચોક્કસ બોલાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો. રસ્તામાં નાસ્તા અને ફ્રુટનું અવિરત વિતરણઅનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ... ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડિલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડુ પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાના બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ...જય દ્વારકાધીશના નારા લગાવે છે. કોઇપણ આરામ કર્યા વગર દરરોજ 10-11 કિ.મી.ની પદયાત્રાઅનંત અંબાણી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજિત 10-11 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ કરતા નથી, સતત ચાલ્યા જ કરે છે. અનંત અંબાણીએ 6 દિવસમાં 60 કિ.મીનું અંતર કાપ્યુંઅનંત અંબાણીએ 28 માર્ચ 2025ના રોજ રાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ પ્રથમ દિવસે વનતારાથી હોટલ શ્યામ વેર, ન્યારા ગેટ સુધી પહોંચ્યા હતા. બીજા દિવસે ખંભાળિયા નજીક મામા સાહેબના મંદિર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે ખંભાળિયા પૂરું કરીને બહાર નીકળતા પોરબંદર તરફ જવાના રસ્તા સુધી પહોંચ્યા હતા. ચોથા દિવસે પગપાળા યાત્રા ખંભાળિયાથી આગળ આવેલા હંસ્થળ પાસે પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી. પાંચમા દિવસે સોનરડી ગામના પાટીયા પાસે યાત્રા પૂરી કરી હતી. જ્યારે આજે સોનરડી ગામના પાટીયા પાસેથી પદયાત્રા શરૂ કરીને ગુરગઢ ગામના પાટીયા પાસે પૂરી કરી છે. આમ છ દિવસમાં એમણે 60 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે. આ પણ વાંચો: અનંતે કતલખાને જતી મરઘીઓને બચાવી: VIDEO

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:40 am

ભાવનગર SOGની કામગીરી:અલંગ શિપયાર્ડમાંથી યુપીની મહિલા પાસેથી ₹23 હજારનો ગાંજો ઝડપાયો

ભાવનગર એસઓજી પોલીસે 'નશામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે અલંગ શિપયાર્ડ વિસ્તારમાંથી એક મહિલા પાસેથી 2 કિલો 313 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મહિલાની ઓળખ રાજવંતીબેન દુર્યોધનભાઇ સાહની (ઉ.વ.41) તરીકે થઈ છે. તે મૂળ ઉત્તરપ્રદેશના સોહરોના મહારાજગંજની વતની છે અને હાલ અલંગ શિપયાર્ડ નજીક પ્લોટ નંબર 24-એ સામે રહે છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹23,130ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજીના એએસઆઈ વિઠ્ઠલભાઇ ચૌહાણે આ મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, જિલ્લામાં 'NO DRUGS IN BHAVNAGAR' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ અને વાવેતર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ સક્રિય છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:33 am

ભુજમાં મોટી દુર્ઘટના ટળી:કલ્પતરુ બિલ્ડિંગના મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ, 3 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી

ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે કલ્પતરુ ઈમારતના ઉપલા માળે આગ લાગવાની ઘટના બની. આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. મેડિકલ સામગ્રીના ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા ત્રણ ફાયર ફાઈટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. સલામતીના ભાગરૂપે વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે ભીડને નિયંત્રિત કરવાની વ્યવસ્થા સંભાળી હતી. સ્થાનિક રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ પણ ઘટનાસ્થળે પહોંચી ફાયર ટીમને મદદ કરી હતી. લગભગ ત્રણ કલાકની સખત મહેનત બાદ મધ્યરાત્રે 1 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, મેડિકલ સામગ્રીનું મોટું નુકસાન થયું છે. નુકસાનની ચોક્કસ રકમ સર્વે બાદ જ જાણી શકાશે. વિજળી બંધ હોવાને કારણે હોસ્પિટલ રોડ વિસ્તારના રહીશોએ ત્રણ કલાક સુધી ગરમીમાં મુશ્કેલી વેઠવી પડી હતી. ટાંચા સાધનો વચ્ચે જીવના જોખમે આગ બુઝાવવાની કામગીરી કરનાર ફાયર ફાઈટર્સની કામગીરીને લોકોએ બિરદાવી હતી. આ ઘટના વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક બની હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:32 am

પાટણમાં ગરમીનો પ્રકોપ:આજે બપોરે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે, લોકોને સાવચેતી રાખવા સૂચના

પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. બપોરે 12 વાગ્યે 38 ડિગ્રી, 1 વાગ્યે 39 ડિગ્રી અને બપોરે 2થી 4 વાગ્યા સુધી 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે જિલ્લાવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે. લૂથી બચવા માટે આરોગ્ય વિભાગે કેટલીક સૂચનાઓ આપી છે. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સફેદ સુતરાઉ કપડાં, ટોપી અને ચશ્મા પહેરવા જરૂરી છે. છત્રીનો ઉપયોગ કરવો અને ભીના કપડાથી શરીરને લૂછતા રહેવું હિતાવહ છે. વધુ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારિયેળ પાણી અને ORS દ્રાવણ પીવું આવશ્યક છે. ખુલ્લા અને વાસી ખોરાક, ચા-કોફી અને તમાકુનું સેવન ટાળવું જોઈએ. લૂના લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:28 am

રેલવે યાત્રીઓ માટે ડિજિટલ સુવિધા:વલસાડ, વાપી અને વસઈ સ્ટેશન પર 'બુક માય કુલી' એપ લોન્ચ, 40 કિલો સામાન માટે માત્ર 75 રૂપિયા

વેસ્ટર્ન રેલવે વિભાગે યાત્રીઓની સુવિધા માટે એક નવી પહેલ કરી છે. વિભાગે 'બુક માય કુલી' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ સેવા હાલમાં વલસાડ, વાપી અને વસઈ રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ છે. યાત્રીઓ હવે 40 કિલો સુધીના સામાન માટે માત્ર 75 રૂપિયામાં કુલીની સેવા મેળવી શકશે. આ ઉપરાંત 10 ટકા સર્વિસ ચાર્જ અને 18 ટકા GST લાગુ પડશે. એપ દ્વારા યાત્રીઓને કુલીનો નંબર મળશે. કુલીને યાત્રીનો નંબર, બેગની સંખ્યા, વજન અને કોચની માહિતી મળશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યાત્રીઓ અને કુલી વચ્ચે થતી ભાવ તાલની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. પહેલા આ પ્રક્રિયામાં 15 મિનિટથી વધુ સમય વેડફાતો હતો. વૃદ્ધ યાત્રીઓ માટે વ્હીલચેરની સુવિધા પણ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એપ દ્વારા યાત્રીઓને અનેક ફાયદા થશે. તેમાં સોદાબાજીમાંથી મુક્તિ, પ્રશિક્ષિત પોર્ટર્સની ઉપલબ્ધતા, અગાઉથી બુકિંગની સુવિધા અને 24x7 સેવાનો સમાવેશ થાય છે. સામાનની સલામતી માટે અધિકૃત પોર્ટર્સની સેવા આપવામાં આવશે. રેલવે વિભાગે નક્કી કરેલા દરો એપમાં દર્શાવવામાં આવ્યા છે, જેથી યાત્રીઓની છેતરપિંડી કે કુલીઓનું શોષણ અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:27 am

રામ નવમી પૂર્વે પોલીસ હાઈએલર્ટ:સુરતમાં રેલી રૂટ અને રેલવે સ્ટેશનની આસપાસ ડ્રોન સર્વેલન્સ શરૂ, ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળો પર ખાસ નજર

સુરતમાં રામ નવમી દરમિયાન શહેરમાં કોમી છમકલું ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે. કોઈ અઇચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઊજવણી કરવામાં આવશે. આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. રામ નવમી રેલીના રૂટ પર ખાસ નજર રખાશેશહેરમાં રામ નવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે. આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનીટરીંગ કરી રહ્યું છે, જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે. સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે, જો કોઈ શખસ ગેરકાયદેસર હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:20 am

દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર લીમડી પોલીસની રેડ:આરોપીઓ ફરાર, પોલીસે મહુડાનો ઘોળ નષ્ટ કર્યો, 10 વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર લીમડી પોલીસે દરોડો પાડ્યો હતો. લગ્નસીઝન દરમિયાન દેશી દારૂની માંગ વધતા બૂટલેગરોએ જંગલ વિસ્તારમાં ભઠ્ઠીઓ શરૂ કરી હોય તેમ લાગી રહ્યુ છે. પોલીસે બાતમીના આધારે એક સાથે 10 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતરીને મહુડાનો ઘોળ ભરેલા કારબાનો નાશ કર્યો હતો. પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી હતી અને 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારના દેશી દારૂના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:19 am

અર્બુદા એગ્રો ફ્યુઅલને નોટિસ:કરણાસર પાસે ખુલ્લી ફોતરી રાખી સલામતીનો ભંગ કરવા બદલ કાર્યવાહી

કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરુ અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે. તે વાહનચાલકો અને લોકો માટે જોખમરૂપ છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે. નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરાયું છે. તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે, ફોતરી વ્યવસ્થિત રાખવી જરૂરી છે. જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈપણ અકસ્માત થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દશરથ શ્રીમાળીએ જણાવ્યું કે, હાઇવે પર ઘણી જગ્યાએ ફોતરી રખાય છે. ઉનાળામાં તેનાથી આગની ઘટના બની શકે છે. તંત્રએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. થરાદ તાલુકાના વિકાસ અધિકારીએ જણાવ્યું કે, તલાટીને સૂચના આપી દેવાઈ છે. કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:16 am

સ્માર્ટ મીટરના ફાયદા સમજાવવા ઘરે-ઘરે પહોંચ્યું PGVCL:પ્રી-પેઇડનો વિરોધ થતાં હવે પોસ્ટ પેઇડ મીટર, વીજ ઉપકરણ બગડ્યું હશે તો મોબાઇલમાં મેસેજ આવશે; જાણો શું કહ્યું ગ્રાહકોએ...

ગુજરાતમાં વર્ષ 2024માં વીજ વિભાગની સ્માર્ટ મીટર યોજના લાગૂ થયા બાદ અમૂક જગ્યાએ તેનો વિરોધ થયો હતો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરિયાદો પણ આવી હતી. જોકે આ વચ્ચે પણ PGVCLનું સ્માર્ટ મીટર સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખમાંથી 1.22 લાખ ઘરો, પ્રીમાઇસિસમાં મૂકવામાં આવી ચૂક્યું છે. જોકે હવે આ સ્માર્ટ મીટર પ્રિ-પેઇડના બદલે પોસ્ટ પેઇડ જ નાખવામાં આવી રહ્યા છે. એટ્લે કે પહેલા મોબાઇલમાં રિચાર્જ કરાવવું પડતું હતું અને હવે 2 મહીને વીજ બિલ આવે છે. સ્માર્ટ મીટર એ ખરેખર સ્માર્ટ છે તેના માટે PGVCLના અધિકારીઓ ઘરે-ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે. સ્માર્ટ મીટરથી ઓનલાઇન બિલિંગ, વીજ વપરાશ પર કંટ્રોલ, ફોલ્ટી વીજ ઉપકરણોનું નોટીફિકેશન મેળવવાથી વધુ વીજ બિલ અટકાવી શકાય છે અને વીજ અકસ્માતો પણ નિવારી શકાય છે. ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લોકો માટે ફાયદારૂપ છે અને જૂના ડિજિટલ મીટર અને સ્માર્ટ મીટરમાં વીજ યુનિટના રીડિંગ એક સરખા થાય છે તેના માટે ચેક મીટર તો છે જ. જોકે મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત થઈ ત્યારે જુના એરિયર્સના કારણે લોકોને વીજ બિલ વધુ આવતું હતું અને તેથી તેમને એવું લાગ્યું કે સ્માર્ટ મીટર આવ્યા પછી વીજબીલ વધ્યું છે અને તેનાથી વિરોધ થયો અને બાદમાં PGVCLમાં પણ સ્માર્ટ મીટર પ્રિપેડના બદલે હવે પોસ્ટપેડ એડ કરવું પડ્યુ. સરકારી કચેરીઓના મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરાઈ રહ્યા છેPGVCLના રાજકોટ શહેરના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર જે.બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પીજીવીસીએલ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે. જેમાં વિવિધ કેટેગરીમાં 55 લાખ જેટલા કસ્ટમર છે. રાજકોટ શહેરમાં 7 લાખ ગ્રાહકો છે. જે પૈકી 42,396 મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થયા છે. હાલ તમામ સરકારી કચેરીઓના મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકારી કોલોની, પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓને ત્યાં તેમજ નવા વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે. બંને મીટરની એક્યુરસી સરખીઅત્યારે મોટાભાગના ગ્રાહકોના ઘરે ડિજિટલ મીટર છે. જે એક્યુરેટ ડિજિટલ મીટર છે. આ મીટર અને નેક્સ્ટ જનરેશન સ્માર્ટ મીટર જે ઇન્ટ્રોડ્યુસ થયા છે તે બંને વચ્ચે ફક્ત તફાવત એટલો છે કે સ્માર્ટ મીટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેનું સીમકાર્ડ આવેલું હોય છે બાકી બંને મીટરની એક્યુરસી સરખી છે. જે વીજ વપરાશ જુના ડિજિટલ મીટર નોંધતા હતા તે જ વીજ વપરાશની નોંધણી સ્માર્ટ મીટરમાં થઈ રહી છે. જેથી બંને મીટરની વચ્ચે એક્યુરસી બાબતનો કોઈ જ તફાવત નથી. જેથી ગ્રાહકોમાં જે ભ્રમણાઓ ફેલાયેલી છે કે સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશ નોંધવામાં આવે છે અને તેના કારણે તેમને આર્થિક નુકસાન જાય છે તે સદંતર ખોટું છે. મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી વીજ વપરાશ નિયંત્રિતસ્માર્ટ મીટરના જે ડેટા ટ્રાન્સફર થાય છે તેનો લાભ ગ્રાહકોની જેમ વીજ વિતરણ કંપનીઓને પણ થાય છે. ગ્રાહકોને ફાયદો એ છે કે પોતાની મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના વીજ વપરાશને નિયંત્રિત કરી શકે છે. જેને લીધે પોતાના ઘરમાં જે જુદા જુદા વીજ ઉપકરણો છે એ પૈકી વીજ ઉપકરણો તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ વીજ વપરાશ કરે છે કે નહીં તેની જાણકારી પણ મેળવી શકે છે. ગ્રાહક પોતાની રીતે વીજ ઉપકરણ ટ્રેક કરી શકશેઅત્યારે જ્યારે ગ્રાહકોને વીજ બીલ આપવામાં આવે છે ત્યારે કોઈ વીજ ઉપકરણ ફોલ્ટી થયેલ હોય અને તેના કારણે તે મહિનામાં વીજ વપરાશ વધુ નોંધાયો હોય તો ગ્રાહકને જ્યારે બિલ મળે ત્યારે જ તેની જાણકારી મળે છે અને તેથી ગ્રાહકને એમ થાય છે કે અમારું વીજ મીટર ફાસ્ટ થઈ ગયું છે. હકીકતમાં એવું હોતું નથી. જોકે સ્માર્ટ મીટર આવતાં જ ગ્રાહક પોતાની રીતે આ પ્રકારના વીજ ઉપકરણ ટ્રેક કરી શકશે અને તે વીજ ઉપકરણ આઇડેન્ટીફાય કરી તેમાં તુરંત સમારકામ કરી શકશે અને આ રીતે ફોલ્ટ થયેલા વીજ ઉપકરણને કારણે વીજ વપરાશમાં થતો વધારો તુરંત જ અટકાવી શકશે અને વીજ બચત કરી શકશે. ખરાબ વીજ ઉપકરણોના નોટિફિકેશનથી અકસ્માતો નિવારી શકાયઆ ઉપરાંત ગ્રાહક પોતાનું વીજ બીલ પોતાની મોબાઇલ એપ્લિકેશનથી ડાઉનલોડ કરી શકશે. મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ પોતાનું વીજ બીલ ભરી શકશે. સ્માર્ટ મીટરના આવવાથી સ્માર્ટ મીટરે ટ્રાન્સફર કરેલા ડેટા મુજબ જ બિલ બનશે. જેથી બિલ બનાવતી વખતે થતી માનવીય ભૂલને પણ નિવારી શકાશે. આ ઉપરાંત સ્માર્ટ મીટરનો અન્ય ફાયદો એ છે કે ગ્રાહકના ઘરમાં લાગેલા કોઈ પણ વીજ ઉપકરણમાં ક્યાંય અર્થ લીકેજ થયું હોય તો સ્માર્ટ મીટરમાં અર્થ લીકેજનું ઇન્ડિકેશન આવે છે. જે ઇન્ડિકેશન કોઈપણ લીકેજને કારણે ઓન થાય છે ત્યારે ગ્રાહકને મોબાઇલમાં તેનું નોટિફિકેશન આવે છે આવા ઉપકરણને અડકી જવાથી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે તે પણ અટકાવી શકાય છે. જેથી વીજ અકસ્માતો અગાઉ જ અટકાવી શકાય છે. વીજ બિલ ઘટાડવા પ્લાનિંગ કરી શકશેઆ ઉપરાંત સ્માર્ટ મીટરના ઉપયોગથી ગ્રાહક પોતાની વીજ બચત કઈ રીતે કરવી, વીજ ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે વીજ બિલ ઘટાડવું તે નક્કી કરી પ્લાનિંગ કરી શકશે. ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં વિચારીએ તો જેમ વધુ ગ્રાહકો વીજ બચત અને વીજ સંરક્ષણ કરશે તેમ વીજ ઉત્પાદન પણ ઓછું થશે અને તેના કારણે આપણા બધાની કાર્બન ફૂટ પ્રિન્ટ પણ ઘટશે. આ રીતે ગ્લોબલ વોર્મિંગમાં પણ સ્માર્ટ મીટરધારકો ફાળો આપી શકશે. સ્માર્ટ મીટર લગાડવાની તારીખના દિવસે એરિયર્સ હતીજ્યારે શરૂઆતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા ત્યારે તે મોડમાં ઘણા ગ્રાહકો હતા કે જેઓને સ્માર્ટ મીટર લગાડવાની તારીખના દિવસે એરિયર્સ પણ હતી. જે વીજ બિલની એરિયર્સ હતી કે જે તેઓએ ભરેલી ન હતી. જેથી એરિયર્સને જ્યારે તેઓ પોતાના દૈનિક વપરાશ સાથે સરખામણી કરવા ગયા ત્યારે તેઓને એવું લાગ્યું કે મારું વીજ મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થયા પછી વીજ બિલ કે જેઓ ડેઇલી પોતાની મોબાઇલ એપ્લિકેશનથી જોતા હતા તેમાં ઘણો બધો વધારો થયો છે પરંતુ તે સાચી હકીકત ન હતી. આ પ્રકારના લોકોની એરિયર્સ જ જે તે વખતે એટલી હતી કે જે પોતાના દૈનિક વીજ વપરાશ સાથે સરખામણી કરતી વખતે ગેરસમજણના કારણે એમને એવું લાગ્યું કે અમારો સ્માર્ટ મીટર ફાસ્ટ છે. જે સદંતર ખોટી વાત છે. એનાલિસિસ કરવા સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ મૂકીએ છીએહવે જ્યારે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે અને ગ્રાહક પોતાની રીતે એનાલિસિસ કરવા માગતું હોય તો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ મૂકીએ છીએ. આ બંને મીટરની અંદર રીડિંગ દરરોજ કઈ રીતે લેવા તેની માહિતી આપે છે અને બંને મીટરમાં નોંધાતા વીજ વપરાશનું કમ્પેરીઝન પણ કરી શકે છે કે બન્ને વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશ એક સરખો છે. આ રીતે સ્માર્ટ મીટર ફાસ્ટ નથી તેવી પોતે જ પોતાની રીતે ગ્રાહક ખરાઈ કરી શકે છે. જેના માટે સબ ડિવિઝનમાં ગ્રાહકને પૂરતી માહિતી આપવામાં આવે છે. સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ એટલું જ બિલ આવે છેસ્માર્ટ મીટર જ્યા લગાવેલું છે તે ગ્રાહક ડૉ. આર. એમ. સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં મારા ઘરે સ્માર્ટ મીટર લગાવેલું છે. પહેલાં મારે ત્યાં જે વીજબીલ આવતું હતું તેટલું જ વીજબિલ હાલ આવે છે. મારે 3 ફેઝ છે એટ્લે 2 મહિને 5000 જેટલું બિલ આવતું હતુ. સ્માર્ટ મીટર લગાવ્યા પછી પણ એટલું જ બિલ આવે છે. આ સ્માર્ટ મીટરથી ઓનલાઇન પેમેન્ટ કરી શકું છું. ઘરમાં વીજ ઉપકરણોના વપરાશ પર કંટ્રોલ કરી શકું છું. મારે ત્યાં સોલાર મીટર પણ લગાવેલું છે. વીજ યુનિટના રીડિંગમાં સ્માર્ટ મીટરની એકયુરસી સારી છે. જેટલો વીજ વપરાશ થયો હોય તેટલા જ યુનિટ સ્માર્ટ મીટરમાં બતાવે છે. 2 મહિના બાદ ખ્યાલ આવશે કે બિલમાં ફેરફાર થયો છે કે નહીંઆ ઉપરાંત અન્ય ગ્રાહક આદિત્ય હાઇટ્સ 702માં રહેતાં નીતિન મહેતાએ જણાવ્યું હતુ કે, અમારું પહેલા નોર્મલ ડિજિટલ મીટર હતું અને એક મહિના પહેલા સ્માર્ટ મીટર લગાવવામાં આવેલું છે. સ્માર્ટ મીટરથી કન્ઝ્યુમરને ખબર પડે કે તેનો વીજ વપરાશ કેટલો થાય છે. જોકે 2 મહીના પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે બિલમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં. સ્માર્ટ મીટર એ લેટેસ્ટ ટેકનોલોજી છે અને તેને આપણે આવકારવી જોઈએ. સ્માર્ટ મીટરથી આપણને ખબર પડશે કે આપણો કેટલો વીજ વપરાશ છે અને તેનો કંટ્રોલ પણ આપણે જ કરી શકીએ છીએ. સૌરાષ્ટ્ર-કચ્છમાં કઈ જગ્યાએ કેટલા સ્માર્ટ મીટર લાગ્યા આ રીતે કામ કરે છે સ્માર્ટ મીટર એપ

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:16 am

અંકલેશ્વરમાં મગરનું સફળ રેસ્ક્યૂ:અમરાવતી નદી કિનારેથી વન વિભાગે મગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યો

અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની અમરાવતી નદીના કિનારે એક મગર દેખાતા વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે. ગત રાત્રે અમૃતપુરા ગામ નજીક અમરાવતી નદીના કિનારે મગર દેખાયો હતો. સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ મગરને પકડવામાં સફળતા મેળવી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર, મગરનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે. નોંધનીય છે કે, અંકલેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદી અને અમરાવતી ખાડીમાં વારંવાર મગર જોવા મળે છે. નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે આદર્શ નિવાસસ્થાન બની ગયા છે. હવે નર્મદા નદી સાથે જોડાયેલી અન્ય નદીઓમાં પણ મગરની હાજરી વધી રહી છે. આ કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:06 am

સાણંદમાં હનુમંત ચરિત્ર કથાનો ભવ્ય પ્રારંભ:PWD ગ્રાઉન્ડ પર સાળંગપુરના હરિપ્રકાશદાસજી સ્વામીના મુખે કથા શરૂ, ભવ્ય પોથીયાત્રા નીકળી

સાણંદ શહેરમાં આજે હનુમંત ચરિત્ર કથાનો વિધિવત પ્રારંભ થયો. PWD ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ કથાની શરૂઆત પહેલાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય વરઘોડામાં ફટાકડા અને બેન્ડવાજાના સૂર સાથે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન 'જય શ્રી રામ'ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કથા સ્થળ પર સાળંગપુરના પ્રખર વક્તા હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમંત ચરિત્ર કથાનું રસપાન શરૂ થયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. કથા દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 9:00 am

‘આ અકસ્માત નહીં હત્યા છે નિષ્પક્ષ-પારદર્શક તપાસ CBI કરે’:જયપુરમાં આક્રોશ-શ્રદ્ધાંજલિ સભામાં જાટ આગેવાનોની માગ, 25 MLA અને 4 MPએ વિધાનસભા-લોકસભામા કરી હતી રજૂઆત

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે જયપુરમાં CBI તપાસની માગ સાથે આક્રોશ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ રાજકીય આગેવાનો CBI તપાસની માગ સાથે પીડિત પરિવારને ન્યાય અપાવવા એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજસ્થાનના 25 ધારાસભ્યો અને 04 સાંસદો દ્વારા રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં પણ CBI તપાસની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ અકસ્માત નહીં હત્યા છે નિષ્પક્ષ-પારદર્શક તપાસ CBI કરેરાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત મામલે જાટ સમાજમાં આજે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને એક મહિનો થવા આવ્યો છતાં હજુ પણ રાજસ્થાનમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને CBI તપાસની માગ સાથે જયપુરમાં આક્રોશ અને શ્રદ્ધાજલિ સભા મળી હતી. રાજસ્થાનના યુવા એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે અમારી પહેલા દિવસથી એક જ માગ છે કે આ અકસ્માત નહિ પરંતુ હત્યા છે જે હત્યાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાવવામાં આવે જેથી સત્ય બહાર આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે. આ હેતુ માટે 1 એપ્રિલ 2025 (મંગળવાર)ના રોજ સવારે 11:15 વાગ્યે શહીદ સ્મારક, કમિશનરેટ જયપુર ખાતે વિરોધ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય માંગણીઓ મોટી સંખ્યામાં જાટ આગેવાનો હાજર રહ્યાઉલ્લેખનીય છે કે જયપુર ખાતે મળેલ સભામાં મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ, મૃતકની બહેન, રાજસ્થાન બેરોજગાર સંઘના પ્રમુખ અશોક ચૌધરી, અખિલ રાજસ્થાન જાટ મહાસભાના પ્રમુખ કુલદીપ ધેવા, મહિલા પ્રમુખ અંકલેશ જાખર, મારુસેના પ્રમુખ એડવોકેટ જયંત મુંડ, રાજપૂત સંઘના પ્રમુખ અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી આગેવાનો રાહુલ મહાલા, મધુસુદન શર્મા, અરવિંદ નાંગલ, નિલેશ ચૌધરી, મહિપાલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. સમોટા, કિરણ શેખાવત, સરપંચ વિક્રમ પહેલવાન, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મુકુલ ખીચડ, રાજ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા વિયોના જાટ, જીવરાજ ભીલવારા, વિજયપાલ કુડી, સંદીપ જાખર, હરિરામ કિવડા, અજય દુદી સહિત અનેક નેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા. જયરાજસિંહના પરિવારજનોએ રાજકુમારને માર માર્યો અને ઘાતકી હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધીયુવા એડવોકેટ જયંત મુંડએ વધુમાં જણાવ્યું હતું કે, ગત 4 માર્ચ 2025ના રોજ શંકાસ્પદ સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના માત્ર એક પરિવાર માટે ન ભરાઈ શકાય તેવી ખોટ છે પરંતુ સમગ્ર સમાજ અને દેશની ન્યાય વ્યવસ્થા માટે પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. પરિવારજનો અને સમાજના આક્ષેપ મુજબ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારજનોએ નાની બાબતે રાજકુમારને માર માર્યો હતો અને તેની ઘાતકી હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધી હતી. ગુજરાત પોલીસે તેને માર્ગ અકસ્માત ગણાવીને મામલાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મૃતકના શરીર પર 48થી વધુ ગંભીર ઈજાના નિશાનો દ્વારા આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો હતો. 26 દિવસ પછી પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી જે સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને પ્રભાવશાળી લોકોના દબાણને છતી કરે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 8:17 am

12 ક્લાસ રૂમની શાળા અર્પણ:જે શાળામાં ભણ્યાં તે જ શાળાને બનાવવાનું સપનું પાલોદર ગામના બે ભાઈએ પૂરું કર્યું

65 વર્ષ પૂર્વે મહેસાણા તાલુકાના પાલોદર ગામે પાટી લઈને ધોરણ એક થી આઠનું પ્રાથમિક શિક્ષણ મેળવનારા બે ભાઈઓએ વર્ષો પછી ગામમાં નવીન પ્રાથમિક શાળા બનાવી ગામને સોંપવાનું વર્ષો જૂનું સપનું રવિવારે મૃતક શિક્ષક જીવરાજભાઈ દેસાઈના પુત્રો અને માલજીભાઈ દેસાઈએ પૂરું કર્યું હતું. રૂ.એક કરોડના ખર્ચે માત્ર પાંચ ચોપડી પાસ જતનબેન માલજીભાઈ દેસાઈના નામે કોમ્પ્યુટર રૂમ સહિત 12 વર્ગખંડની નવીન શાળા બનાવીને શિક્ષણ વિભાગને સોંપી હતી. પાલોદર ગામે પતરાંની જૂની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ જીવરાજભાઈ દેસાઈ શિક્ષક બન્યા હતા. જ્યારે તેમના ભાઈ માલજીભાઈએ ખાનગી નોકરી મેળવી હતી. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યા બાદ બંને ભાઈઓએ જે ગામમાં પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે ત્યાં અદ્યતન નવી શાળા બનાવવીનું સપનું જોયું હતું. વર્ષો બાદ શિક્ષક જીવરાજભાઈ મૃત્યુ પામ્યા. બીજી તરફ, ગામની પ્રાથમિક શાળાનું મકાન ખૂબ જ જર્જરિત થઈ જતાં જીવરાજભાઈના દીકરા રમેશભાઈ અને રાજેશભાઈએ તેમના કાકા માલજીભાઈ અને તેમના દીકરા દિનેશભાઈ અને વિક્રમભાઈ સાથે મળી એ સપનું પૂર્ણ કરવાની દિશામાં કામ કરી રૂ.1 કરોડના ખર્ચે 12 વર્ગખંડ ધરાવતી ધાબા સાથેની એક અદ્યતન શાળા માલજીભાઈ દેસાઈએ તેમનાં પત્ની જતનબેનના નામે બનાવી રવિવારે વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુના હસ્તે ગામલોકો અને શિક્ષણ વિભાગને અર્પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:34 am

હાલાકી:સંઘપ્રદેશ દાનહના સાયલી ગામે રસ્તાના અધૂરા કામથી સ્થાનિક લોકો ત્રાહિમામ

દાનહના સાયલી ગામે હાલમાં પણ રસ્તાનું કામ અધુરું હોવાને કારણે સ્થાનિકો તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા જતા લોકો પરેશાન થઇ રહ્યાં છે. ગત મહિને સાયલી સ્ટેડીયમથી આગળના ભાગે રસ્તાની હાલત એકદમ જ ખરાબ છે. કેટલીક જગ્યા પર તો ખાડાઓ ખોદવામાં આવેલા એને પણ પુરવામાં આવ્યાં નથી અને કાચા રસ્તાને કારણે આખો રસ્તો ધૂળીયો બની ગયો છે જેના કારણે રાહદારીઓ અને બાઈક સવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાયલી ગામમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા જતા નાના મોટા વાહનોને પણ પરશાની થઇ રહી છે.હવામાન વિભાગે ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની પણ આગાહી કરી છે. જો વરસાદ પડશે તો આ રસ્તાની હાલત વધુ બદતર થશે.જેથી પ્રશાસન જે રસ્તાનુ કામ અધૂરું છે એને જલ્દીથી પૂર્ણ કરાવે આવે એવી સ્થાનિકોની માગ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:27 am

ખેડૂતોની ચિંતા વધી:છૂટાછવાયા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ

ભાસ્કર ન્યૂઝ|સેલવાસ દાદરા નગર હવેલીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણને કારણે બફારો થઇ રહ્યો હતો મોડી સાંજે અચાનક વરસાદના છાંટા પડતા વાતાવરણમાં આંશિક ઠંડકથી રાહત મળી હતી.આ વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ છે.હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ કમોસમી માવઠાથી કેરીના પાકને અશર માઠી થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:27 am

વિરોધ:વલવાડામાં ડેમ માટેની જમીન ટ્રાન્સપોર્ટ નગર માટે કબજો લેવાની તજવીજ !

ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત હદમાં આવેલ જમીન ભૂતકાળમાં ડેમ માટે સંપાદન કરી હતી જે જમીન હાલે GIDC દ્વારા કબજો લેવાની તજવીજ કરતા સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાના વલવાડા ગામની અંદર વાપી ઔદ્યોગિક એકમને પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે હેતુથી આજથી 40 એક વર્ષ પહેલા દમણ ગંગા નદીની અંદર બાંધ બાંધવામાં આવ્યો હતો. જે તે સમયે નદી તટની આજુબાજુ જમીન સંપાદિત કરવામાં આવી હતી. નદી કિનારાને લાગેલ વલવાડ ગામની હદમાં આવેલી કેટલીક જમીન પણ સંપાદિત કરવામાં આવી હતી. સંપાદિત થયેલી જમીન પૈકી કેટલીક જમીનનો ઉપયોગ ન કરાતા જેતે સમયથી સ્થાનિકો તેમજ મૂળ જમીન માલિકના વારસદારો કબજો ધરાવે છે. ટ્રાન્સપોર્ટ નગર સ્થાપિત કરવાના હેતુ માટે સંપાદિત જમીનનો હાલે કબજો લેવાની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના મત મુજબ વર્ષો પહેલા બાંધ (ડેમ) નિર્માણના હેતુ માટે જમીન સંપાદિત કી હતી સદર જમીન ખાતે ટ્રાન્સપોર્ટ નગર સ્થાપિત કરવા માટે જમીનનો કબજો લેવામાં આવી રહ્યો છે જે બદલ સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં મામલતદાર સહિત અધિકારીઓને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:26 am

ખેડૂતો ચિંતામાં:નાનાપોંઢા પંથકમાં વરસાદી ઝાપટા, પાકને નુકસાની ભીતિ

મંગળવારેવહેલી સવારે નાનાપોંઢા તેમજ આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા લોકોએ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. મંગળવારે વહેલી સવારથી જ નાનાપોંઢા વિસ્તારમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદી ઝાપટા પડતા ગરમીમાં શેકાતા લોકોને મહદ અંશે રાહત મળી હતી. રસ્તાઓ ભીના થઈ જાય એટલો વરસાદ પડ્યો હતો.લોકો સવારની પહોરમાં પશુઓ માટે રાખેલો ઘાસ ચારો પલળી ન જાય તે માટે તાડપતરી ઢાંકતા જોવા મળ્યા હતા.વધુમાં આ વિસ્તારમાં આવેલી આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયુ હતું.માંડ હજુ તો કેટલાક ઝાડ પર મંજરી ફૂટી છે તો અમુક આંબા પર કેરીઓ પણ આવી ગઈ છે તેવામાં પડેલા વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સાથે જિલ્લાની આંબા વાડીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:26 am

વાહન વ્યવહાર બંધ:વલસાડ તા. પં. કચેરીનું નવુ મકાન બનાવાતા રસ્તો બંધ

તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 અન્વયે મળેલી સત્તાની રૂએ તારીખ 01 એપ્રિલ 2025થી 31મી મે 2025 સુધી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકો હવે ડાયવર્ઝન રૂટ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી થઈ ડોક્ટર હાઉસ તરફથી જઈ શકાશે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડ ધરમપુર રોડ થઈ કલ્યાણ બાગ તરફ થઈ જઈ શકાશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:25 am

આત્મહત્યા કરતા અટકાવ્યા:વલસાડમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા આધેડનો જીવ બચાવાયો

વલસાડમાં પોલીસની સતર્કતાને કારણે એક 50 વર્ષીય આધેડનો જીવ બચી ગયો છે. હાલારમાં રહેતા કમલકુમારએ સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની પોસ્ટ મૂકી હતી. 30 માર્ચ 2025ની રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેમણે રેલ્વે સ્ટેશન જઈને સેલ્ફી લઈ આત્મહત્યા કરવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરિવારજનોએ આ અંગે તરત જ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના PI દિનેશ પરમારનો સંપર્ક કર્યો. SP ડો.કરનરાજ વાઘેલા અને DySP એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા મિશન મિલાપ અંતર્ગત પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. PSI ડી.એસ.પટેલ અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. નેત્રમના CCTV કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કમલકુમાર હાલાર તળાવ તરફ ગયા છે. પોલીસે સમયસર પહોંચીને તેમને આત્મહત્યા કરતા અટકાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:25 am

તપાસ:મિશન મિલાપમાં પોલીસે ગુમ 29 બાળક, 29 ઈસમને શોધી કાઢ્યા

વલસાડ જિલ્લામાંથી ગુમ અને અપહ્ત બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના તથા બહારના રાજ્યના 5 મળી કુલ 63 જેટલા વ્યક્તિને શોધી કાઢ્યા છે. વલસાડ એસપી ડો.કરનરાજ વાઘેલાના પ્રયાસથી મિશન મિલાપ આભિયાન હેઠળ વલસાડ જિલ્લામાંથી ગુમ થઇ ગયેલા કે અપહરણ થયેલા બાળકો, બાળાઓ, યુવતીઓ, ઇસમોને શોધી કાઢવા ટીમોને કામગીરી સોંપી છે. વલસાડ પોલીસે માર્ચ માસમાં જિલ્લાના થાણા અધિકારીઓને સરપંચો, સભ્યો, સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ટેક્નિકલ સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ મારફત તપાસ કરાવી ગુમ કે અપહરણ કરવાની ફરિયાદીનો સંપર્ક કરી વિગતોને આધારે કાર્યવાહી તેજ કરાઇ હતી. જેમાં 30 દિવસના ટૂંકાગાળામાં 29 બાળક, સ્ત્રી પુરૂષ 29 મળી કુલ 58 જણા તથા 5 વ્યક્તિઓ જિલ્લા કે રાજ્ય બહારથી વલસાડ પોલીસની ટીમે શોધી કાઢવામાં સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:24 am

અકસ્માત:દુવાડા પર હાઇવે ક્રોસ કરતા ક્લીનરનું કાર અડફેટે મોત

ભાસ્કર ન્યૂઝ । ખારેલ ગોધરાના વાલી ફળિયામાં રહેતા શોકત અબ્દુલરહીમ મલા (ઉ.વ. 58) પોતાના કબ્જાની ટ્રક લઈને ગોધરાથી વાપી આવ્યા હતા. વાપીથી પુના ટ્રાન્સપોર્ટમાંથી સામાન ભરી તેમના કલીનર ગીરવત દલસુખભાઈ ચૌહાણ (ઉ.વ. 48, રહે. 51-નદીવાળું ફળિયું, બેટીયા ગામ, તા. ગોધરા) સાથે ટ્રક (નં. જીજે-31-ટી- 3963)માં વાપીથી હાલોલ જવા સાંજે 5 કલાકે નીકળ્યા હતા. એંધલ હાઇવેના દુવાડા પાટિયા પાસે રાત્રે 7 કલાકે ટ્રક સાઈડમાં પાર્ક કરી અમદાવાદથી મુંબઈ તરફ જતી લાઈનમાં આવેલા રોયલ દરબાર હોટલમાં જમવા માટે ગયા હતા. જ્યાંથી જમીને બીલ ચૂકવી હાઇવે ક્રોસ કરવા ઉભા હતા ત્યારે કલીનર ગીરવત મુંબઇથી અમદાવાદ લાઈન ક્રોસ કરવા જતો હતો. દરમિયાન મુંબઈથી સુરત તરફ જતી લાઇનમાં સફેદ કલરની કાર (નં. જીજે-05-ટી-2494)ના ચાલકે ઝડપે લાવી ગીરવતભાઈને અડફેટે લેતા તેઓ હાઇવે પર પટકાયા હતા. જેને પગલે તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કાર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. આ અકસ્માત 30 માર્ચના રોજ થયો હતો ત્યારબાદ પોલીસે કારના નંબર ઉપરથી રાજકુમાર ગણેશભાઈ પટેલ (ઉ.વ.27, 134-શ્યામવિલા સોસાયટી, કઠવાડા, અમદાવાદ)ની ધરપકડ કરી હતી. રાજકુમાર તેમના ફોઈના છોકરાની ટ્રાવેલ્સની કાર ચલાવતો હતો અને બનાવને દિવસે ચીખલી વર્દી લઈને આવ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:24 am

કાર્યવાહી:નવસારી શહેરમાં 5 અને જલાલપોરમાંથી 4 જુગારીઓની અટક કરી

ભાસ્કર ન્યૂઝ | નવસારી નવસારી જિલ્લામાં જલાલપોરના ઓંજલ માછીવાડ અને નવસારી શહેરમાં નગરપાલિકા શોપીંગ સેન્ટર પાછળ આવેલી દુકાનમાં જુગાર રમતા જુગારીઓની અટક પોલીસે કરી હતી. જેમાં નવસારીમાં 5 અને જલાલપોર વિસ્તારમાંથી ચાર જેટલા મળી કુલ 9ની અટક કરી હતી. નવસારી જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે એસપી સુશીલ અગ્રવાલે પોલીસ અધિકારીને સુચના આપી હતી. જેમાં નવસારી ટાઉન પોલીસના અપોકો ધરમસિંહભાઇ જીવરાજભાઇને મળેલી બાતમીના આધારે નવસારી પાલિકાના દુધિયા તળાવ શોપીંગ સેન્ટર પાછળ કેટલાક લોકો જુગાર રમતા હોય રેડ કરતા પાંચની અટક કરી હતી. જેમાં રવિ રાઠોડ, રહે. જુનાથાણા, રોહિત દંતાણી, રહે. દરગાહ રોડ, રણજીત દંતાણી, રહે. સહિદચોક, ફિરોજ પઠાણ, રહે. તિધરા નવી વસાહત અને કમલેશ દેવીપૂજક રહે. તિઘરા નવી વસાહત નવસારીની અટક કરી 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ પી.આઇ. અશ્વિરભાઇ સરવૈયા કરી રહ્યાં છે. તો જલાલપોર પોલીસમાં અ.પો.કો.અજયસિંહ જયન્દ્રસિંહને બાતમી મળી કે ઓંજલ માછીવાડ વિજય યુવક મંડળ ક્રિકેટગ્રાઉન્ડની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક યુવાનો તીનપત્તીનો જુગાર રમી રહ્યાં છે. જેને લઇ જલાલપોર પોલીસે ઓંજલ માછીવાડ ગામે રેડ કરતા 4 યુવાનોની અટક કરી હતી. જેમાં માછીમારી કરતા નિલયભાઇ ટંડેલ રહે. ઓંજલ માછીવાડ, મીહીર ટંડેલ, રહે. નૂતનફળિયા માછીવાડ, વિકાસ ટંડેલ, મર્ચન્ટ નેવી રહે. નૂતન ફળિયા ઓંજલ માછીવાડ અને હેમંતભાઇ ટંડેલ ઓંજલ માછીવાડ રામજી મંદિર ફળિયાની અટક કરી દાવમાં મુકેલા રોકડા મળી 1570 રૂ. જપ્ત કર્યાં હતા. આગળની તપાસ જલાલપોરના અ.હે.કો. ચિરાગભાઇ પુનભાઇ પરમાર કરી રહ્યાં છે. જિલ્લા પોલીસ દ્વારા હાલ જુગારની બદી અટકાવવા વિવિધ જગ્યાએ રેડ કરી તીનપત્તીનો જુગાર રમતા લોકોની અટક કરી રહ્યાં છે. જેને લઇ જુગારીઓમાં ફફડાટ મચી ગયો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:21 am

અકસ્માત:વેસ્મા-મરોલી માર્ગે ડાભેલ પાસે ટ્રક-મોપેડનો અકસ્માત

ભાસ્કર ન્યૂઝ | નવસારી ટોલટેક્સ બચાવવા આંતરિક માર્ગે જતાં ટ્રકે મોપેડને અડફેટે લીધું, મોપેડ ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વેસ્મા-મરોલી મુખ્ય માર્ગ પર ડાભેલ ગામ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે નેશનલ હાઇવે પરથી સુરત તરફ જતા ભારે વાહનો ટોલટેક્સ બચાવવાના ઈરાદે આંતરિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:21 am

કાર્યવાહી:NPL જોવા આવેલા ચાર વાહન ચાલકોને ટ્રાફિક વિભાગે દંડ કર્યો

ભાસ્કર ન્યૂઝ | નવસારી નવસારીના લુન્સિકૂઇ મેદાનમાં હાલ એનપીએલ ક્રિકેટ સ્પર્ધા ચાલી રહી છે. જેને જોવા પ્રેક્ષકો પોતાના વાહનો લઇને આવતા તે રસ્તા પર મુકી ટ્રાફિક કરતા હોય કોઇએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ચાર વાહન ચાલકોને ઇમેમોનો દંડ ફટકાર્યો હતો. જેને લઇ ઘણા વાહન ચાલકો પોતાના વાહનો સુરક્ષિત જગ્યાએ મુક્યા હોવાની માહિતી મળી છે. નવસારી જિલ્લાના ઉભરતા ક્રિકેટરોને રાજ્ય અને રાષ્ટ્રની ટીમમાં સ્થાન મળે તે માટે હાલમાં એનપીએલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ઘણા પ્રેક્ષકો પોતાના વાહનો રસ્તા પર જ મુકી મેદાનની પાળીએ બેસી ક્રિકેટ મેચ જોતા હોય છે. હાલમાં કાલિયાવાડી સ્થિત બ્રિજનું કામ ચાલુ હોય ટ્રાફિક પણ વધુ હોય જેના કારણે લુન્સિકૂઇનો રોડ સાંકડો બની જતો હોય છે. આ રોડ પર પ્રેક્ષકો પોતાના વાહન મુકી ટ્રાફિકને અડચણ થાય તેમ મુકતા હોય જેને લઇ ઘણા વાહન ચાલકોએ ટ્રાફિક વિભાગમાં અને એસપીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેને લઇ ટ્રાફિક વિભાગની પીસીઆર વાન જઇને રસ્તા પર મુકેલા વાહન ચાલકોને ચેતવણી આપી અને કેટલાક ન માનતા ચાર વાહન ચાલકોને ઇમેમો પણ ફટકાર્યો હોવાની માહિતી મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:21 am

કાર્યવાહી:મોટાબજારમાં ચીજવસ્તુઓના દબાણ મનપાએ હટાવ્યા

ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી શહેરના મોટા બજારમાં રોડ લાગુ મુકાયેલ વસ્તુઓ, ફર્નિચર વગેરે હટાવી ટેબલો મનપાએ કબજે લીધા હતા. સાથે શેડ સહિતનું દબાણ દૂર કરવા બે દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. હાલમાં મહાનગરપાલિકાએ શહેરના અનેક વિસ્તારોમાં રોડ લાગુ દબાણ હટાવ્યા હતા. મંગળવારે શહેરના સૌથી જુના કોમર્શિયલ વિસ્તાર મોટાબજારમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તાર ખૂબ જ સાંકળો છે જેમાં ચાર ચક્રીય વાહનો તો જઈ શકતા જ નથી પણ ટુ વ્હિલર યા ચાલવા માટે પણ તકલીફ પડે છે, આ સ્થિતિમાં પોલીસ ચોકી સામેના વિસ્તારમાં દુકાનોની બહાર રોડને લાગુ જે ચીજવસ્તુઓ મૂકી નડતરરૂપ હતી તે હટાવી હતી, સાથે 15 જેટલી ટેબલ, ટીપાઈ વગેરે કબજે પણ લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મોટાબજારમાં ઘણી દુકાનો બહાર શેડ, બોર્ડ, બેનરો પણ બહારની જગ્યાએ જોવા મળે છે. તેને મંગળવારે દૂર કરાયા ન હતા. જોકે તેને બે દિવસમાં દૂર કરવા અલ્ટિમેટમ પણ મનપાએ આપ્યું હોવાનું જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:20 am

આયોજન:પાંચમા દિવસે આર્ય ઇલેવન અને યોહાન યોદ્ધા વચ્ચે રમાયેલી મેચમાં..

નવસારીમાં એનપીએલની પાંચમા દિવસ રમાયેલી મેચ ક્રિકેટ રસિયાઓ માટે અતિ રોમાંચક બની હતી. આ મેચમાં છેલ્લા બોલે આર્ય ઇલેવનને જીતવા માટે છ રન ઘટતા હતા ત્યારે સાહિલ મકવાણાએ અંતિમ બોલે છગ્ગો ફટકારી આર્ય ઇલેવનને વિજેતા બનાવી હતી. નવસારી જિલ્લામાં ઊભરતા ક્રિકેટર માટે એન.પી.એલ. હવે રોમાંચક બની રહી છે. પાંચમાં દિવસે યોહાન યોદ્ધા અને આર્ય ઇલેવન વચ્ચે મેચ રમાઇ હતી. આર્ય ઇલેવનની ચૂસ્ત બોલિંગ સામે યોહાન યોદ્ધા 20 ઓવરમાં 145 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. 146 રન ચેંજ કરવા આર્ય ઇલેવને ધીમી પણ મક્કમ ગતિ એ શરૂઆત કરી હતી. તેમને અંતિમ ઓવરમાં જીતવા 6 બોલમાં 10 રન કરવાના આવ્યા હતા. જેમાં યોહાન યોદ્ધાના બોલરે ચુસ્ત બોલિંગ નાંખતા પાંચ બોલમાં માત્ર ચાર જ રન જ આપતા આર્ય ઇલેવન પ્રેશરમાં આવી ગઈ હતી. અંતિમ બોલે આર્ય ઇલેવનના સાહિલ મકવાણાએ છગ્ગો મારતા આર્ય ઇલેવન ત્રણ વિકેટે વિજયી બની હતી. બેસ્ટ બેટસમેન તરીકે સાહિલ મકવાણા 22 બોલમાં 42 રન કર્યા હતા. યશ પરમારે પણ 17 બોલમાં 44 રન કર્યા હતા, બેસ્ટ બોલર તરીકે પ્રતીક ધરતે ચાર ઓવરમાં 11 રન આપી 3 વિકેટ, બિરેન પટેલે પણ ચાર ઓવરમાં 17 રન આપી 3 વિકેટ લીધી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:20 am

લેખિતમાં માગ:મજૂરીના ભાવમાં ઘટાડો કરતા રત્ન- કલાકારો વિફર્યા, સાંજે માની પણ ગયા

ભાસ્કર ન્યૂઝ । નવસારી મંદીના માર વચ્ચે સુરતમાં રત્ન કલાકારોએ હીરાની મજૂરોમાં ભાવ વધારા માટે રજૂઆત કરી છે અને કારીગરો અને માલિક વચ્ચે ભાવ વધારા માટે સમજૂતી ચાલી રહી છે ત્યારે નવસારીમાં પણ તેની અસર દેખાઇ હતી. શાંતાદેવી રોડ પર આવેલ સહજાનંદ એક્સપોર્ટમાં નવા ભાવ આજથી મૂકવામા આવતા રત્ન કલાકારોએ માલિકને ‘આ ભાવ નહીં ચાલે દિવાળી પહેલા હતા તે ભાવ આપો’ તેમ જણાવતા માલિક અને રત્ન કલાકારો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા રત્ન કલાકારો પોતાની માંગ સાથે સંકુલમાં જ બેસી જઈ ‘ભાવ વધારો કરો’ના નારા રત્નકલાકારોએ લગાવ્યા હતા. નવસારીના શાંતાદેવી રોડ પર આવેલ આશરે 800થી વધુ રત્ન કલાકારોને રોજગારી આપતી સહજાનંદ એક્સપોર્ટમાં સવારે માલિક દ્વારા મજૂરીના ભાવો ચારણી+5 ના ભાવમાં તળિયાનાં ભાવો રૂ. 11, પેલના રૂ.6.50 અને મથાળાના ભાવ રૂ. 7.50નું બોર્ડ મારતા કારીગરો વિફર્યા હતા. તેઓએ દિવાળી પહેલાના ભાવો આપવા માંગ કરતા મજૂરી આજ રહેશે જેઓએ કામ કરવું હોય તે કરે નહિતર અહીંથી જતા રહો એમ માલિકે ઉદ્ધત ભરી ભાષામાં જણાવ્યું હતું. જોકે, સાંજ સુધીમાં માલિક અને રત્નકલાકારો વચ્ચે ભાવ વધારા બાબતે સમાધાનકારી વલણ અપનાવી ઉપરાંત પ્રાથમિક સુવિધા આપવા માટે લેખિતમાં જણાવતા હડતાળ સંકેલી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:18 am

માગ:નવસારીમાં 33 ટકા મહિલા અનામત માટે મહિલા કોંગ્રેસ મેદાને

ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા અત્યાચાર અને મહિલાઓ ઉપર થતાં બળાત્કારીઓને સજા આપવા કલેક્ટરને ઉદ્દેશીને આવેદન આપ્યું હતું. નવસારી જિલ્લાના મહિલા કોંગ્રેસના અર્ચના પટેલ અને મહિલા કાર્યકરોએ આવેદન આપતા જણાવ્યું કે ભારત દેશમાં ૩૩% મહિલા અનામત ભીલ (શક્તિ વંદનબીલ) સાંસદમાં પાસ થઈ ગયું છે છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી, સંસદના બન્ને ગૃહમાં મોદી સરકાર પાસે પુરંતુ સંખ્યા બળ અને વિરોધ પક્ષોનું સમર્થન હોવા છતાં ભાજપા આ બીલને લાગુ કરતી નથી. ભાજપા- આરએસએસની મહિલા વિરોધ માનસિકતાને ઉજાગર કરે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોની માંગણી છે કે 33% મહિલા અનામત બીલ ઝડપથી લાગુ કરવામાં આવે ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે, સરકાર કોઇ જ પગલા લેવાતા નથી, મહિલા સુરક્ષા, અત્યાચાર, બળાત્કાર અનેક ક્ષેત્રોમાં થતા મહિલાઓનાં શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પુરી પડાતી નથી. સરકાર આ બાબતે બિલકુલ નિષ્ફળ રહી છે, મહિલાઓને સુરક્ષા, અત્યાચાર અને બળાત્કાર તેમજ શોષણનાં ગુના સામે ગુનેગારોને કડકમાં કડક સજા કરાય તેવી માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:18 am

વીડિયો વાયરલ:દુકાનદારે ગ્રાહકને છ મહિના જૂની ઠંડા પીણાની બોટલ પધરાવી દીધી

વડાલી શહેરના બજારમાં ઠંડાપીણાની બોટલ છ માસ અગાઉ એક્સપાયરી થઈ ગયેલી દુકાનદારે ગ્રાહકને પધરાવી દેતા વડાલીમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા જાગૃત નાગરિકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલા જાણીતા કોમ્પલેક્ષમાં છેલ્લા કેટલાય સમયથી દુકાનદાર દ્વારા ઠંડાપીણાની બોટલો એક્સપાયરી ડેટ વીતી ગયા હોવા છતાં ગ્રાહકને પધરાવી દેતા ગ્રાહકની નજર એક્સપાયરી ડેટ પર પડતાં એકવાર દુકાનદાર પાસે ઠંડાપીણા બોટલ પરત કરી ફરી નવી બોટલની માંગણી કરતા દુકાનદારે બીજી બોટલ પણ એક્સપાયરી ડેટ વીતી ગયેલી પધરાવતા ગ્રાહકે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:18 am

તપાસ:યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી, લાગી આવતાં સગીરાએ ઝેરી દવા પી લીધી

પાટણ પંથકનાં એક ગામની સગીરાને યુવકે પ્રેમમાં ફસાવી મોબાઇલમાં ફોટો પાડી તેની પાસે પૈસાની માંગણી કરી બ્લેક મેલ કરતા 15 વર્ષની કિશોરી ગભરાઈને ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઇ હતી.ઘટના અંગે પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી યુવકને પકડી વધુ તપાસ હાથ ધરી છે. પાટણનાં એક ગામમાં 15 વર્ષની સગીરાને સંજય પરમાર નામના શખ્સે પ્રેમમાં ફસાવી હતી આ શખ્સે મુલાકાત દરમ્યાન સગીરાના ફોટો પાડી તેની સાથે ફોન પર વાતો કરી 500 રૂપિયા આપવાં માંગણી કરતો હતો.જેથી કિશોરીએ છેલ્લા ચાર પાંચ દિવસથી યુવક સાથે બોલાવવાનું બંધ કર્યું હતું. 26 માર્ચે બપોરે પોણા એક વાગ્યે કિશોરી દહીં લેવા માટે દુકાને ગઇ હતી બાદમાં ઘરે પરત ફરતી વખતે યુવક રસ્તામાં મળ્યો હતો તેની પાસે 500 માંગ્યા હતા કિશોરીએ પૈસા ન હોવાનો જવાબ આપ્યો હતો યુવકે ઘરે જઈને ફોન કરવાનું કહેતાં કિશોરી એ ઘરે જઈને ફોન કર્યો હતો ત્યારે યુવકે ફરીથી રૂપિયા 500 માંગ્યા હતા અને ન આપ્યા તો તેનાં ઘેર આવી જવાની ધમકી આપતા સગીરાએ ફોન કટ કરી દીધો હતો. બપોરે યુવક બાજુના ઘરમાંથી સગીરાના ઘરના ઉપરના રૂમમાં ઘૂસ્યો હતો.પાછળનો દરવાજો તૂટેલો હોવાથી લાત મારી અંદર ગયો હતો આગળનો દરવાજો બંધ કરી છોકરી પાસે 500 માંગ્યા હતા સગીરાએ તેની પાસે પૈસા ન હોવાનું કહેતાં યુવકે સગીરાને મોબાઇલમાં ફોટા બતાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:17 am

માગ:મોડાસા કલેક્ટર કચેરીમાં વિકાસ કામોના પ્રશ્ને વાદીયોલના ગ્રામજનોએ ધરણાની મંજૂરી માગી

ભાસ્કર ન્યૂઝ | મોડાસા ભિલોડા તાલુકાની વાદીયોલ ગ્રુપ ગામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામોના પ્રશ્નને વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પડતર સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ અને ગ્રામજનોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા અને તારીખ 29 મેએ ધરણા યોજવા માટે કલેકટર કચેરીમાંથી મંજૂરી માંગી છે. ભિલોડાની વાનદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ ગામેતી અને ગ્રામ પંચાયત સત્તાવાળાઓએ કલેકટરને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત હસ્તકના સોડપુર વાદીયોલ અસાલ વજાપુર (ખે) દાંતિયા નવાગરા કાદવિયા બીડ અને સાબર ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પાયાની જરૂરિયાતના કામોની તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે અને બાંધકામ વિભાગમાં લેખિતમાં રજૂઆતો કરવા છતાં વિકાસના કામોની ફાળવણી કરવામાં ન આવતા બે મહિના અગાઉ ગ્રામજનો દ્વારા પદયાત્રા યોજીને ભિલોડા તાલુકા પંચાયત આગળ ધરણા યોજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આજ દિન સુધી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ફાળવવામાં ન આવતા ગામજનો અને ગ્રામ પંચાયત સત્તાવાળાઓ એ તારીખ 29 મેએ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારણા યોજી કલેકટરને રજૂઆત કરવા માટે મંજૂરી માગતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઉપરોક્ત ગામ પંચાયત વિસ્તારમાં મોટાભાગે બક્ષીપંચ આદિવાસી અને દલિત સમાજના લોકો વસવાટ કરતા હોવાનું અને છૂટાછવાયા વિસ્તારોમાં રહેતા હોવાનું પણ જણાવાયું છે. ગ્રામજનોની આ પડતર માંગણીઓ છે 1. સોડપુર, વાદીઓલ, અસાલ આંગણવાડીના મકાનો 2. મેશ્વો નદી ઉપર તૂટી ગયેલા ચેકડેમ રિપેરીંગ 3. વાદીયોલ, કાદવ્યા, કાદવીયા થઈ વજાપુર દાંતિયા નેશનલ હાઈવેને જોડતો ડામર રોડ 4. વાદિઓલ, નવાગરા, નાંદીશણ અને જોડતા રોડના વાંગા ઉપર 30 મીટર ના ઘરનાળાનું કામ 5. અસાલ પ્રાથમિક શાળા પાસે ગનાળાનું કામ 6. ગ્રામ પંચાયત વિસ્તારના પાકા રસ્તાઓ ઉપર દરેક ગામમાં દિશા સૂચક બોર્ડ 7. શામળાજીની મેશવો જળાશયમાંથી નદીમાંથી પાણી છોડવા માંગ

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:17 am

ફરિયાદ:હિંમતનગરના ભાવપુર ગામમાં પ્રેમ સંબંધ રાખનાર યુવકને ધિબેડી કાઢ્યો

હિંમતનગર તાલુકાના ભાવપુરના પ્રેમ સંબંધ રાખનાર યુવકને ફોન ઉપર ધમકીઓ આપી સોમવારે બપોરે ચાર શખ્સો તેના ઘેર પહોંચી ગયા હતા અને ઝપાઝપી કરી માર મારતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બે જણાના નામ જોગ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ભાવપુર ગામના 28 વર્ષીય વિકાસ રમણભાઈ પ્રજાપતિ બેએક વર્ષ અગાઉ મોડાસા ખાતે નવરાત્રી જોવા ગયા હતા તે દરમિયાન ભિલોડા તાલુકાના વણઝર ગામની યુવતી સાથે પરિચય થયો હતો અને મોબાઈલ નંબરોની આપ લે બાદ વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. વિકાસ પ્રજાપતિએ ફરીયાદમાં નોંધાવ્યા અનુસાર યુવતીના ઘેર જાણ થઈ જતા એક સપ્તાહ અગાઉ તરુણ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને યુવતી સાથે વાતચીત બંધ કરવાનું કહ્યું હતું ત્યારબાદ તે જ દિવસે ટીટીસર ગામના જીગર નામના શખ્સનો ફોન આવ્યો હતો અને હવે પછી વાત કરીશ તો તને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી રવિવારે રાત્રે નવેક વાગે જીગરનો ફરીથી ફોન આવ્યો હતો અને કોન્ફરન્સમાં ગજેન્દ્રસિંહ અમૃતસિંહ ઝાલા (રહે બોડી તાલુકો મોડાસા) જે પહેલા તેમના ગામમાં જ રહેતા હતા તેમણે ફોનમાં ધમકી આપી હતી કે અમે તારા ગામમાં આવીએ છીએ જેથી વિકાસ પ્રજાપતિએ હું ઘેર જ છું આવી જાઓ કહી ફોન મૂકી દીધો હતો ત્યારબાદ સોમવારે બપોરે અઢી વાગ્યાના સુમારે બ્રેઝા ગાડી નંબર જીજે-31-આર-7692 લઈને ગજેન્દ્રસિંહ અમૃતસિંહ ઝાલા જીગર અને અન્ય બે શખ્સો વિકાસના ઘેર આવી ગયા હતા અને ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી વિકાસને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કરતા તેની માતા લીલાબેન, બહેન શિલ્પાબેન વચ્ચે પડતા તેમને પણ ધક્કા મૂકી કરી ઇજાઓ પહોંચાડી હતી વિકાસના પિતાના મોબાઈલ ઉપર ગજેન્દ્રસિંહ ઝાલાએ ફોન કરી કહ્યું હતું કે તમારા દીકરાને મારી સાથે મોકલો નહીં તો જાનથી મારી નાખીશું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:16 am

ચોરી:પાલનપુરમાં ચાલુ ટ્રેનમાં મુસાફરના મોબાઇલની ચોરી

પાલનપુર | આબુરોડથી અમદાવાદ જતી સાબરમતી સુપરફાસ્ટ ટ્રેનમાં ખુમાનસિંહ ભીમારામ રાવણા(રહે, ઓઢવ,અમદાવાદ, મૂળ રહે બાડમેર)આબુરોડ રેલવે સ્ટેશનથી સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના જનરલ ડબ્બામાં બેસી અમદાવાદ જવા નીકળ્યા હતા. જેઓ મંગળવાર સવારે 9.15 વાગ્યે પાલનપુર રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન ઉપડ્યા બાદ દરવાજા પાસે ઉભા રહી મોબાઇલ ફોન પર વાત કરી રહ્યા હતા. ત્યારે ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી હતી.ત્યારે એક અજાણ્યો ઇસમ તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લઈ ભાગી ગયો હતો. આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:16 am

માપદંડોની ચકાસણી:અરવલ્લીના વધુ ચાર આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી એશ્યોરન્સ

ભારત સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાના 4 આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રશિકા તેનપુર પાલ્લા અને સબ હેલ્થ સેન્ટર ઇન્દ્રપુરાનો સમાવેશ થાય છે આ ચકાસણી અનુસંધાને ધનસુરા તાલુકાના શીકા પીએચસી-90.61 ટકા, બાયડ તાલુકાના તેનપુર પીએચસી-90.39 % તાલુકા ભિલોડાના પાલ્લા પીએચસી-96.50% અને ઇન્દ્રપુરા સબસેન્ટર 82.93% સાથે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ એચ.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરનું દિલ્હીની ટીમો દ્વારા NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ આરોગ્ય સેવાઓ, જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:16 am

સુવિધા:અસારવાથી આગ્રા દૈનિક, કાનપુર સાપ્તાહિક ટ્રેન શરૂ કરાતાં હવે યુપી તરફ જવું સરળ બની રહેશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશવાસીઓને સલામત મુસાફરી માટે ટ્રેન સેવાને વધુ પ્રાધાન્ય અપાઈ રહયું છે ત્યારે વર્ષોથી અગમ્ય કારણોસર સાબરકાંઠા-અરવલ્લીને ખુબજ ઓછી ટ્રેન સેવાનો લાભ મળ્યો છે ત્યારે તાજેતરમાં નોર્થ સેન્ટ્રલ રેલવે દ્વારા ગુજરાતના અસારવા (અમદાવાદ)થી ઉત્તર પ્રદેશ સુધીની મુસાફરી માટે બે નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે તેનો સીધો લાભ હિંમતનગર સહિત અન્ય સ્થળે રહેતા સાબરકાંઠાવાસીઓને મળશે. જે અંતર્ગત બે નવી ટ્રેન તા.1 એપ્રિલ 2025 થી 1જુલાઈ 2025૨૦ સુધી ચાલશે ત્યારબાદ જો ટ્રેનોમાં મુસાફરોનું ભારણ વધુ રહેશે તો રેલ્વે તંત્ર આ ટ્રેનોને દૈનિક ચલાવવા માટે વિચારશે. જે મુજબ રેલ્વે તંત્ર દ્વારા પહેલી ટ્રેન અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે દરરોજ દોડાવાશે આ ટ્રેન આગ્રાથી રાત્રે 11 વાગે ઉપડી બીજા દિવસે બપોરે 3:05 વાગે હિંમતનગર અને સાંજે 4:35 વાગે અસારવા પહોંચશે. પરત જવા માટે આ ટ્રેન અસારવાથી સાંજે 6 વાગે ઉપડી, હિંમતનગર 7:30 વાગે થઈને બીજા દિવસે સવારે10:20 વાગે આગ્રા પહોંચશે. આ ટ્રેનમાં 24 કોચ લગાડવામાં આવશે અને 897 કિલોમીટરનું અંતર 14 સ્ટેશનો પર રોકાણ સાથે કાપશે. બીજી સાપ્તાહિક ટ્રેન અસારવા-કાનપુર સેન્ટ્રલ વચ્ચે દોડાવાશે જે કાનપુરથી સોમવારે સવારે 8 વાગે ઉપડી, મંગળવારે વહેલી સવારે 4:07 વાગે હિંમતનગર થઈ 5:45 વાગે અસારવા પહોંચશે. પરત જતી આ ટ્રેન અસારવાથી મંગળવારે સવારે 9:15 વાગે ઉપડી, હિંમતનગર 10:48વાગે થઈને બુધવારે સવારે 7 વાગે કાનપુર પહોંચશે. આ ટ્રેનમાં 18 કોચ હશે અને 1152 કિલોમીટરની વચ્ચે આવેલ 17 સ્ટેશનો પર રોકાણ કરશે. જેના લીધે ગુજરાતથી ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ શહેરો સુધી સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. બંને ટ્રેનો ફતેહપુર સીકરી, બયાના, ગંગાપુર સિટી, સવાઈ માધોપુર, ઉદયપુર સહિતના મહત્વના શહેરોમાં રોકાણ કરશે. જેથી ગુજરાત અને રાજસ્થાનમાંથી ઉત્તર પ્રદેશ જનાર મુસાફરોને સીધી ટ્રેન સેવાનો લાભ મળી શકશે. ઉલ્લેખનીય છે કે રેલ્વે તંત્રએ મુસાફરોના ભારણને લઈને પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે આ વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે. તો બીજી તરફ આગામી સમયમાં રેલ્વે તંત્ર દ્વારા હિંમતનગરથી ઈડર સુધી કે જયાં રેલ્વે લાઈનનું કામ તથા રેલ્વે સ્ટેશનો અને અંડરબ્રિજનું કામ પૂર્ણ થઈ ચુકયુ છે ત્યાં ઈડર અને આસપાસના ગામડાના લોકોને લાંબા સમય બાદ ટ્રેનમાં મુસાફરી કરીને રોડ માર્ગને બદલે ટ્રેન મારફતે હિંમતનગર થઈ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ જવામાં સગવડતા રહેશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:15 am

સુવિધા:સાપાવાડામાં હિંમતનગર-ઇડર રેલવે લાઇન પર રૂ. 10 કરોડના ખર્ચે અંડરપાસ બનાવાશે

હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા રેલ્વે ટ્રેક નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક રજૂઆતોને લઈ સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલ મંત્રાલય અને વેસ્ટર્ન રેલવેમાં કરેલ રજૂઆત બાદ ઈડરના સાપાવાડા રેલવે ફાટક નંબર 109ની જગ્યાએ અંદાજે રૂ.10 કરોડના ખર્ચે 6 મીટર બાય 4 મીટરનો અંડર પાસ બનાવવા પશ્ચિમ રેલવે દ્વારા પ્રપોજલ બનાવાઈ હતી જેને મંજૂરી મળતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેરાઈ ગઈ છે. હાલમાં હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા રેલવે ટ્રેક બ્રોડગેજ પરીવર્તન કામગીરી ચાલી રહી છે. ઇડરના સાપાવાડા ખાતે સ્થાનિકો દ્વારા અંડરપાસની સુવિધા માટે લાંબા સમયથી રજૂઆતો થઈ રહી હતી. સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાએ રજૂઆતોને લઈ ગત ફેબ્રુઆરી માસમાં હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે ટ્રેક પર હિંમતનગર થી 28 કીમીના અંતરે આવેલ ફાટક નંબર એલસી 109 જુલાઈ 2008માં બંધ કરાયું હતું તે જગ્યાએ હાલમાં ચાલી રહેલ ગેજ કનવરઝન કામગીરીમાં નવીન અંડરપાસનો સમાવેશ કરવા લેખિત માગણી કરી હતી. સતત લોકપ્રશ્નોને વાચા આપતા શિક્ષિત સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું કે રેલ વિભાગ દ્વારા ઇડરના સાપવાડા રેલવે ફાટક નંબર 109 ઉપર અંડરપાસ બનાવવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીત બીટ્ટુને રૂબરૂ મળી રજૂઆત કરતા તેમણે સ્થાનિક નાગરીકોની માંગને ગ્રાહ્ય રાખી વેસ્ટર્ન રેલવેના DRM અમદાવાદ તેમજ જનરલ મેનેજર ચર્ચ ગેટ મુંબઈ દ્વારા તાત્કાલિક ધોરણે ફીજીબીલીટી તપાસ કરાવવામાં આવી હતી આ તપાસમાં ફીજીબીલીટી યોગ્ય મળતા અંદાજીત રૂ.10 કરોડથી વધુની રકમનો એસ્ટીમેટ નક્કી કરવામાં આવ્યો છે. સપવાડા ગામમાં અંડર પાસને મંજૂરી મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. લોકોની વર્ષોની માંગણી સંતોષાઈ હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:15 am

રીકવરી:હિંમતનગર પાલિકાને વીતેલા વર્ષમાં 13.56 કરોડની આવક

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં રીઢા બાકીદારો છતાં પાલિકાના વસૂલાત વિભાગ દ્વારા ચાલુ વર્ષે રૂપિયા 50 લાખની વધુ રીકવરી કરવા સહિત વિવિધ હેડે કુલ 13.56 કરોડની આવક કરી છે જે આવક વીતેલા વર્ષોની સરખામણીએ સૌથી વધુ છે. હિંમતનગર નગરપાલિકામાં વીતેલા વર્ષમાં આજુબાજુના આઠ ગામના વિકસિત સર્વે નંબરોનો નવો સમાવેશ કરાયા બાદ આકારણી પ્રક્રિયા શરૂ કરાઈ છે તે પૈકી 2800 મિલકતમાંથી 2200 જેટલા મિલકત ધારકોએ વેરો પણ ભરી દીધો છે પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ વિગત આપતા જણાવ્યું કે આ વર્ષે વર્ષો જૂની વેરા વસુલાત પૈકી 1.03 કરોડની વસુલાતને પગલે 8.70 કરોડની મિલકત વેરાની વસુલાત શક્ય બની છે જે ગત વર્ષની સરખામણીએ 50 લાખ વધુ થઈ છે તદુપરાંત વ્યવસાય વેરાની પણ 1.98 કરોડ જેટલી વસુલાત થઈ છે વસુલાત ટીમોએ વોર્ડ વાઇઝ મિલકત ધારકોને મળી વસુલાત પ્રક્રિયા ઝડપી અને કારગર બનાવી હતી આ સિવાય પણ વ્યવસાય વેરા દંડ, વ્યાજ, ઇમ્પેક્ટ ફી વગેરેની 2,56,04,000 અને ગલ્લા વગેરેની 32,62,000 જેટલી આવક થઈ છે એકંદરે હિંમતનગર પાલિકાને વર્ષાન્તે મિલકત વેરા સહિત વિવિધ હેડે કુલ રૂપિયા 13.56 કરોડની આવક થઈ છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:12 am

વિવિધ સેવાઓ:એક વર્ષમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલ 307 મહિલાઓને સખી સેન્ટરે મદદ કરી ન્યાય અપાવ્યો

ભાસ્કર ન્યૂઝ | પાટણ પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે છેલ્લા એક વર્ષમાં 1574 પીડિત મહિલાઓને વિવિધ સેવાઓ આપી ન્યાય અપાવ્યો છે. આ સેન્ટર પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ 24 કલાક કાર્યરત છે. અહીં પીડિત મહિલાઓને કાયદાકીય, તબીબી, પોલીસ સહાય, આશ્રય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ જેવી પાંચ પ્રકારની સેવાઓ એક જ છત હેઠળ આપવામાં આવે છે. ગત એક વર્ષમાં 307 મહિલાઓને ઘરેલુ હિંસા, પ્રેમ પ્રકરણ, ગુમ થયેલી મહિલા, શારીરિક, માનસિક અને જાતીય હિંસા, અપહરણ સહિતના કેસોમાં મદદ કરવામાં આવી. જેમાંથી 163 મહિલાઓ પોતાની રીતે, 41 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા, 50 પોલીસ સ્ટેશન દ્વારા, 6 pbsc સેન્ટર દ્વારા, 7 વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા અને 22 ધારપુર મેડિકલ હોસ્પિટલ દ્વારા સેન્ટર સુધી પહોંચી હતી.આ ઉપરાંત 36 માનસિક અસ્વસ્થ મહિલાઓને તબીબી સારવાર આપી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:11 am

રજૂઆત:દિયોદર અને લાખણી પંથકના ખેડૂતોને હેવી વીજલાઈનથી નુકસાન,પાક વળતર આપો

ભાસ્કર ન્યૂઝ । પાલનપુર દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને હેવી વિજ લાઈનના કામથી પાકને નુકશાન થયું છે. કંપનીના માણસોએ ગેરકાયદે ખેતરમાં પ્રવેશ કરી પાકમાં મશીનરી મૂકી. ખેતરની વાડ તોડી. પાકને પણ નુકશાન પહોંચાડ્યું હતું.આ મામલે બંને તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. ખેડૂતોની માંગ છે કે તેમને પાકના નુકશાનનું વળતર આપવામાં આવે. દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોએ 400 કે.વી. ઝેરડા લાઈન નં.1 ડબલ સર્કિટ ટાવરનું રીપેરીંગ કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. ખેડુતોનું કહેવું છે કે આ લાઈન તેમના ખેતરમાંથી પસાર થાય છે. કંપનીના કામદારો ખેતરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે. મશીનરી અને સામાન ઉભા પાકમાં મૂક્યા છે. ખાડા ખોદી પાકને નુકશાન પહોંચાડ્યું છે. ફળદ્રુપ ઝાડો અને ખેતરની વાડ પણ કાપી નાખી છે. આ લાઈન અગાઉ પણ નાખવામાં આવી હતી ત્યારે . ઘણા ખેડુતોને વળતર મળ્યું નહોતું. હાલ ફરીથી રીપેરીંગના કામ દરમિયાન કંપની વળતર આપવાની લાલચ આપી રહી છે. ખેડુતોનું કહેવું છે કે, કંપનીએ નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાન નોટિફિકેશન રૂલ્સ 2004નું પાલન કર્યું નથી. લાઈનના કારણે હાલના અને ભવિષ્યના પાકને નુકશાની થાય છે. નિયમ મુજબ વળતર આપવામાં આવે. ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી વળતરની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:11 am

માર્કેટયાર્ડમાં ભારે ભીડ:શિહોરી માર્કેટયાર્ડમાં તમાકુની 25 હજાર બોરીની આવક

શિહોરી માર્કેટયાર્ડમાં એપ્રિલના પ્રથમ દિવસે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી. હરાજીમાં 25 હજાર બોરી તમાકુની આવક નોંધાઈ હતી. દિયોદર, કાંકરેજ, ભાભર અને લાખણીના ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુ વેચવા માટે હાજર રહ્યા હતાં.માર્કેટયાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી. શિહોરી માર્કેટયાર્ડમાં એપ્રિલના પ્રથમ દિવસે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી. ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલની અધ્યક્ષતામાં હરાજી શરૂ થઈ હતી. શિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલી હરાજીમાં 25 હજાર જેટલી તમાકુની ગુણીઓ આવી હતી. દિયોદર, કાંકરેજ, ભાભર અને લાખણી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુ વેચવા માટે હાજર રહ્યા હતા.હરાજીમાં તમાકુના ભાવ 2311 રૂપિયા સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ગુણવત્તા મુજબ ભાવ 1911 અને 1400 રૂપિયા સુધી રહ્યા હતા. ઊંઝા, મહેસાણા, પાટણ અને ઉનાવાના વેપારીઓએ પણ દુકાનો ખોલી હરાજીમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:10 am

પાણીનો કકળાટ:પાટણ મોતીનગરમાં પાઇપલાઇન તૂટતા સ્થાનિકોએ ટેન્કર મંગાવ્યું

ભાસ્કર ન્યૂઝ | પાટણ પાટણ શહેરમાં આવેલ મોતીસા વિસ્તારમાં ખોડીયાર ચોક મોતીનગર ને પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટતા બે દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયો છે. સ્થાનિક રહીશોએ પાણીની જરૂરિયાત સંતોષવા માટે પાટણ નગરપાલિકા પાસેથી રૂપિયા 200 ચાર્જ ચૂકવી પાણીની જરૂરિયાત સંતોષી છે. મોતી શાહ નગરમાં રહેતા સાગરભાઇ દેવીપુજક એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાણી ઓછું જ આવે છે તેમાં છેલ્લા બે દિવસથી પાઇપલાઇન તૂટી છે એટલે બિલકુલ પાણી આવતું નથી એટલા માટે પીવા અને વપરાશ માટે પાલિકા પાસેથી ₹200 ચાર્જ આપીને ટેન્કર મંગાવ્યું હતું. સમસ્યા રોજની છે પાણી ઉપાડી લાવી જરૂરિયાત સંતોષી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:08 am

હાલાકી:પાટણના અનાવાડાથી રોડા ગામ સુધીનો બિસ્માર રોડ નવો બનાવો

ભાસ્કર ન્યૂઝ | પાટણ અનાવાડાથી રોડા સુધીનો મુખ્ય રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. રોડ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે.જેના કારણે રાત્રીના સમયે અકસ્માતોની ઘટનાઓ વધી છે. અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનાવાડા ગૌશાળા આગળ સરસ્વતી નદી પસાર થાય છે. ત્યાં બ્રિજ બનાવવાની માંગણી વર્ષોથી ચાલી રહી છે. હાલ નદી ઉપરના રસ્તામાં પણ ખાડા પડી ગયા છે. વરસાદ કે પાણી પસાર થતી વખતે અકસ્માત વધુ થાય છે.દુધરામપુરા ગામના ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી આ રોડની સમસ્યા યથાવત છે. અનેક વખત રજૂઆતો કરાઈ છે. છતાં કોઈ પરિણામ મળ્યું નથી.રોડ ઉપરના ગામોના આગેવાનોએ પણ સરસ્વતી નદી પર બ્રિજ બનાવવાની માંગ કરી છે. રોડ ઉપર અનાવાડા, હનુમાનપુરા ,દુધારામપુરા ,ખાનપુરડા, દુનાવાડા અને રોડા સુધીનો રોડ ખરાબ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:08 am

માર્કેટયાર્ડનો પ્રારંભ:માર્કેટયાર્ડ શરૂ થયા પહેલા જ 10,000 બોરીની આવક: ખેડૂતોને હવે ઉનાવા સુધી લાંબુ થવું નહીં પડે

ભાસ્કર ન્યૂઝ |પાટણ પાટણ જિલ્લામાં તમાકુનું વાવેતર વધતાં પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા પાટણ-ઊંઝા રોડ પર દિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની શરૂઆત કરવામાં આવી રહી છે. 2 એપ્રિલે માર્કેટયાર્ડ શરૂ થાય તે પહેલાજ તમાકુની 10 હજાર બોરી આવી ગઈ છે. પ્રથમ દિવસે 30 હજાર બોરી આવવાની શક્યતા છે. પાટણ જિલ્લામાં ધીમે ધીમે તમાકુની ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ 2018માં 1887 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું હતું. જે હાલમાં વધીને 2024 માં 7967 હેક્ટરમાં વાવેતર થયું છે. છેલ્લા છ વર્ષમાં 6000 હેક્ટર વિસ્તારમાં વાવેતરમાં વધારો થયો છે જેમાં ખાસ કરીને હારિજ પાટણ રાધનપુર તાલુકામાં વાવેતર વધ્યું છે ત્યારે ખેડૂતોને વેચાણ માટે ઉનાવા અને વિજાપુર સુધી લાંબુ ન થવું પડે તે માટે બુધવારથી પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની શરૂઆત કરવામાં આવી રહી છે. 30 જેટલા વેપારીઓએ અહીંથી ખરીદી કરવાની તૈયારી બતાવી છે. હાલમાં 30 જેટલા હંગામી સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે આરામ કરવા, કેન્ટીન, પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી છે.તેવુ APMC પાટણના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું વેપારી મૌલિક પટેલે જણાવ્યું કે, અગાઉ અન્ય પીઠામાં તમાકુ ખરીદવા જતા હતા. હવે નવા માર્કેટયાર્ડમાંથી ખરીદી કરશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:07 am

નોટિસ:મહેસાણા એરોડ્રામ રોડ ચવેલીનગરથી નેળિયામાં દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવા 12ને નોટિસ

ભાસ્કર ન્યૂઝ । મહેસાણા મહેસાણાનાએરોડ્રામ રોડ પર ચવેલીનગરપાણીની ટાંકી સામે મણીધર સોસાયટી તરફ જતાં નેળીયા માર્ગ દબાણોમાં સાંકડો થઇ ગયો હોઇરજૂઆતના બદલે આ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવા મનપાએ 12 દબાણકર્તાને નોટિસ ફટકારી હતી. ત્રણ સોસાયટી આગળ મકાનની કમ્પાઉન્ડ વોલ કે શૌચાલયનેલગતાં બાંધકામ દબાણમાં આવતાં હોય તે પૈકી કેટલાકે જાતે જ દબાણો તોડી જગ્યા ખુલ્લી કરી છે, તો બાકી રહેલા દબાણો બુધવારે મનપાનીટીમ દૂર કરશે તેવા સંકેતોસાંપડ્યાછે. સુમાહિતગાર સૂત્રોએ કહ્યું કે, નેળીયા માર્ગમાં દબાણના લીધે રસ્તો સાંકડોહોયસત્વરે દબાણો દૂર કરવા રજૂઆત થઇ હતી. જેને પગલે ચવેલીનગરથી મધુરમ હોમ્સ, મણીધર સોસાયટી તરફ જતા નાગલપુર સીમના નેળીયાનારસ્તાની મનપા દ્વારા ફેબ્રુઆરીમાંડીઆઇએલઆ ર રેકર્ડ મુજબ માપણી કરાવતાંસરકારી નેળીયાની જગ્યામાં દબાણો જણાયા હતા. સનસીટી સોસાયટી, કૈલાસનગર અને વસંત વિહાર સોસાયટી આગળથી પસાર થતા આ નેળીયાનારસ્તા સાઈડ મકાનની કમ્પાઉન્ડ વોલ, શેડ વગેરે દબાણોમાં આવતી જગ્યાએ ડિમાર્ગેશનકર હતું. આ માર્ગમાં 12 દબાણકર્તાઓને ગત 19 ફેબ્રુઆરીએ નોટિસ ઇસ્યુ કરીને દબાણો દૂર કરવા જણાવાયું હતું. જેને પગલે તંત્ર દ્વારા નેળીયામાં ડિમાર્ગેશન કરાયેલા દબાણો બુધવારે તોડી દૂર કરવાનું આયોજન કરાયુંછે. રસ્તા વચ્ચે જ ગાબડાથી વાહન ચાલકો હેરાન ચવેલીનગરથી મણીધર સોસાયટી તરફનો નેળીયા માર્ગ સાવ ભંગાર હાલતમાં હોયવાહનચાલકોએ પસાર થવામાં હાડમારી વેઠવી પડે છે. એમાંયે સનસીટી સોસાયટી આગળ વચ્ચે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોઇટુ વ્હીલરચાલકોપસાર થઇ શકે તેમ ન હોઇબાજુના ખેતરના રસ્તેથી આ જગ્યા ઓળંગી પસાર થવું પડે છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:07 am

કાર્યવાહી:સ્વામિનારાયણ મંદિરની બહાર અને શહેરમાં જતા રોડ સહિતના પર તવાઇ

ભાસ્કર ન્યૂઝ । મહેસાણા મહેસાણાની રાધનપુર ચોકડી પર સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા મનપાએ પોલીસની સાથે મળી ચારે તરફના રસ્તાઓ ઉપર નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા ખાનગી કે સરકારી તમામ વાહનોને 712 ઈ-મેમો પોલીસના કમાન્ડ કંટ્રોલરૂમ દ્વારા અપાયાં છે. રાધનપુર ચોકડી પર સવારે અને સાંજે સ્વામિનારાયણ મંદિર આગળ, શહેરમાં જવાના ડેરી રોડ પર, પાંચોટ જવાના રસ્તે પીકઅપ સ્ટેન્ડ આગળ અને અમદાવાદ તરફ સહિતના ચારેય રસ્તાઓ ઉપર રિક્ષા અને ઇકો ખાનગી વાહનોનો ઓડિંગો જામતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. સંકલનની બેઠકોમાં ટ્રાફિકનો મુદ્દો વારંવાર ઉછળતો રહ્યો છે. ત્યારે મનપા હવે રાધનપુર ચોકડીના ટ્રાફિકને દૂર કરવા મેદાને પડી છે. કમિશનર અને જિલ્લા પોલીસવડાની બેઠક બાદ એસપી તરુણ દુગ્ગલે નો પાર્કિંગ ઝોનમાં ઊભેલા તમામ વાહનોને મેમા આપવા કમાન્ડ કંટ્રોલરૂમને સૂચના આપતાં છેલ્લા 10 દિવસથી એસપી ઓફિસ સ્થિત નેત્રમ શાખા દ્વારા રાધનપુર ચોકડી પર લાગેલા પીટીઝેડ કેમેરાને ઝૂમ કરી ફેરવીને ચારે રસ્તા ઉપર ઉભેલા 712 વાહનોને રૂ.500ના ઈ-મેમો મોકલાયા છે. હાલ તો ચોકડી ઉપર ચારે બાજુ આડેધડ ઉભા રહેતાં ખાનગી વાહન ચાલકો દોડતા થયા છે. નેત્રમ દ્વારા સીસીટીવીની મદદથી શરૂ કરવામાં આવેલી નો પાર્કિંગની કામગીરી હકીકતમાં ટ્રાફિક પોલીસે કરવાની હોય છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:06 am

ડીઓનું ફરમાન:શિક્ષકો ટ્યૂશન કરતા નથી'બાંહેધરી આપવા શાળાઓને ડીઓનું ફરમાન

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કેટલાક શિક્ષકોખાનગી ટ્યૂશન કરતા હોવાની રજૂઆતોનાપગલે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓના આચાર્ય અને સંચાલક મંડળનેતકેદારી રાખવા અને શાળામાં ટ્યૂશન રજીસ્ટર અપડેટ કરી તેની નકલ સાત દિવસમાં બીટના મદદનીશ શિક્ષણ નિરીક્ષક મારફતે મોકલી આપવા સરક્યુલર કરાયું છે. સરકારી, ગ્રાન્ટેડ શાળાના કોઈપણશિક્ષક કંઇ પણ મહેનતાણું લઈને અથવા લીધા વગર કોઈપણ ખાનગી ટ્યૂશન આપી શકશે નહીં તેવી સરકારી જોગવાઈછે અને આ જોગવાઇનાભંગ બદલ શાળાની બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને ટ્યૂશન રજીસ્ટર રાખવા તથા અપડેટકરવા જણાવ્યુંછે. તમામ શિક્ષકો ખાનગી ટ્યૂશન કરતા નથી કે ભવિષ્યમાં કરશે નહીં તેની બાંહેધરી સ્ટેમ્પ ઉપરલેવા જણાવ્યુંછે અને સ્ટેમ્પ અને ટ્યૂશન રજીસ્ટરની નકલ સંબંધિતબીટના નિરીક્ષક મારફતે સાત દિવસમાં મોકલી આપવા સૂચના અપાઇ છે. તેનેલઈને શાળા તંત્ર હવે શિક્ષકોના ટ્યૂશન મામલે રજીસ્ટર અપડેટમાં લાગશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:05 am

રજૂઆત:દેદિયાસણ જીઆઇડીસીમાં પ્રાઇમ પેકેજીંગ કંપનીથી ઝેરી ગેસ ફેલાય છે

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા મહેસાણામાં દેદીયાસણ જીઆઇડીસીમાં આવેલ પ્રાઇમ પેકેજીગ પ્રોડક્ટસ કંપનીમાંથી ઝેરી ગેસ ની ગંધ અહિયાં થી પસાર થતા અનુભવાતી હોયજાહેર આરોગ્યને અસર થઈ શકે છે તેવી ભીતિ નેલઈનેસત્વરે આ કંપનીમાં તપાસ કરીને જરૂરી પગલાં લેવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના પ્રાદેશિક અધિકારીને લેખિત રજુઆત થઇ છે. કંપની નીચીમનીનિયમોનું ઉલ્લંઘન કરીને સ્થાપિત કરાઈહોવાનું લાગતાં ગેસ આસપાસના વાતાવરણમાં ફેલાઇરહ્યો છે.ચીમની જમીનથી લગભગ 12 થી 15 ફુટ ની ઊંચાઇએ આડી (હોરિઝોન્ટલ) રીતે લગાવવામાં આવી છે,જેના કારણે ઝેરી ગેસ સીધો આસપાસના વાતાવરણમાં ફેલાઇ રહ્યો છે. આસ્થિતિથી પર્યાવરણ ને હાનિ ની સાથે આસપાસના લોકો નાજાહેર આરોગ્યને જોખમની સંભાવના રહે છે.ત્યારે તાત્કાલિક તપાસ કરીને ફેક્ટરી સામે પગલા લેવા અરજી થઇ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:04 am

મનપાને આવક:અલ્ટીમેટમ પછી શહેરમાં એક મહિનામાં 2289 ભૂતિયાં ગટર જોડાણ કાયમી થયાં

મહેસાણા શહેરમાં માર્ચ મહિનાના અંત સુધીમાં ભૂતિયા ગટર જોડાણ નિયમિત કરાવીલેવાની અવધિ દરમિયાન2289 મિલકતદારોએ રૂ.એક હજાર ફી અને રૂ.એક હજાર પેનલ્ટી ભરીને તેમના ભૂતિયા ગટર જોડાણ નિયમિત કરાવ્યાં છે. જેમાં મનપાને રૂ.47.75 લાખની આવક થઇ છે. આ ઉપરાંત, આ જોડાણના રૂ.200 ગટર વેરા પેટે રૂ. 4.57 લાખ જેટલી આવક થઇ છે. નોંધનીયછે કે, ગેસ્ટહાઉસ, હોટલ વગેરેનાં ગેરકાયદે જોડાણ નિયમિત કરવામાં રૂ.10 થી રૂ.20 હજાર સુધીની ફી વસૂલાય છે. હવે ભૂતિયા ગટર જોડાણ મામલે મનપા મુદત વધારો કરશે કેસર્ચ કરીને આકરા દંડ વસુલશે તેઅંગે કોઈ પોલિસી જાહેર કરી હતી. મહાનગરપાલિકાએ 3 માર્ચથી 31 માર્ચ સુધી ગેરકાયદે ભૂતિયા ગટર જોડાણ નિયમિત કરાવી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ દરમિયાન રૂ.50નો સ્ટેમ્પ અને એકરારનામુ કરી રૂ.એક હજાર દંડ અને રૂ.એક હજાર ફી ભરીને મિલકતદારોએ જોડાણ નિયમિત કરાવ્યાં છે. કોમર્શિયલ અને મોટા એકમો માટે દંડ વધુ રખાયો હતો. જેમાં ડ્રેનેજ તંત્રને ભૂતિયા 2289 ગટર જોડાણ ઓનલાઇન નોંધણીમાંરૂ.24.86 લાખ અને ઓફલાઇન દંડમાં રૂ.22.89 લાખ આવક થઇ છે. જોકે, છેલ્લી ઘડીએ ભૂતિયા જોડાણ નિયમિત કરાવવા સોમવારે ઇદની રજાના દિવસે પણ કસ્બા, સોમનાથ રોડ વિસ્તારથી આવેલા મિલકતદારો એ કેશ એકાઉન્ટમાં બપોરે12 સુધી ક્લોઝીંગ હોઇ હવે નવી કામગીરી થઇ શકે તેમ નથી તેવો જવાબ મળતાંપાછા ગયા હતા. વર્ષ 2024માં 10 હજાર જોડાણ નિયમિત થયાં ગત વર્ષ 2024માં નગરપાલિકા વખતે ભૂતિયા ગટર જોડાણ નિયમિતમાંરૂ.500 ફી અને રૂ.500 દંડ હતો. જેમાં અંદાજે 10 હજારથી વધુ મિલકતદારોએ ગટર જોડાણ નિયમિત કરાવતાં રૂ.1.50 કરોડનીઆવક થઇ હતી. મનપાએ ફી અને દંડ ડબલ કરીને માર્ચમાં ગટર જોડાણ નિયમિત કરાવી લેવા તક આપી હતી. જુલાઈ2024 પહેલાં શહેરમાં ભૂગર્ભગટરના નિયમિત અંદાજે 22,349 જોડાણ હતાં. ત્યાર પછી,નિયમિતમાંઅંદાજ ે 10 હજાર જોડાણ વધ્યા અને હવે 2289 જોડાણનો ઉમેરો થયો છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:04 am

વ્યવસાય વેરો:મહેસાણામાં 10104 વેપારીએ વર્ષમાં રૂ.6.36 કરોડ વેરો ભર્યો

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા મહેસાણા મહાનગરપાલિકામાં જૂના પાલિકા હદ વિસ્તારના કરપાત્ર વ્યવસાયકારો પૈકી વર્ષ 2024-25 દરમિયાન 10104 કરદાતાએ કુલ રૂ.6.36 કરોડ વ્યવસાય વેરો ભર્યો છે. નાણાકીય વર્ષ પૂરું થતાં હવે બાકી વ્યવસાયકારોએ 18 ટકા વ્યાજ સાથે વેરો ભરવો પડશે. નોંધનીય છે કે, મનપાએ પહેલીવાર વ્યવસાય વેરામાં આ વર્ષે બે રીઢા બાકીદારોની મિલકત સીલ કરી છે. મહાનગરપાલિકાની તિજોરી વ્યવસાય વેરા આવકથી છલકાઇ છે. માર્ચના છેલ્લા ત્રણ દિવસ તા.29 થી 31 દરમ્યાન વ્યવસાય વેરા પેટે રૂ.19.41 લાખની આવક થઇ છે. સોમવારે અંતિમ દિવસે રૂ.9,09,495 લાખની આવક થઇ હતી. મનપાના સૂત્રોએ કહ્યું કે, વ્યવસાય વેરાની સમયઅવધિ વિત્યા પછી વેરો ભરવામાં કરદાતાએ 18 ટકા વ્યાજ સાથે વેરો ભરવાનો રહેશે. એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન વ્યવસાય વેરામાં ક્યુઆર કોડથી કરદાતાઓથી કેશલેશમાં રૂ.38.29 લાખની આવક થઇ હતી. હવે ઓનલાઇન વ્યવસાય વેરો ભરવાનું ચલણ વધી રહ્યું છે. અંદાજે 5 હજારથી વધુ કરદાતાઓએ સમયમર્યાદામાં વ્યવસાય વેરો ભર્યો ન હોઇ હવે તેમને 18 ટકા વ્યાજ લાગશે. સૌથી વધુ વેરો ચેકથી જમાથ યો ચેકથી રૂ.4.22 કરોડ, રોકડરૂપે રૂ.1.54 કરોડ, ક્યુઆર કોડથી રૂ.38.29 લાખ, યુપીઆઇથી રૂ.9.85 લાખ, નેટ બેન્કિંગથી રૂ.83.08 લાખ, ક્રેડિટ કાર્ડથી રૂ.2.63 લાખ, ડેબિટકાર્ડથી રૂ.23,927 અને એનઇએફટી- આરટીજીએસથી રૂ.4534નો વ્યવસાયવેરો જમા કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:03 am

કામગીરી:મગપરાથી રેલવે સ્ટેશન પાર્કિંગનો રસ્તો નવ મીટર થશે

મહેસાણા | શહેરના ગોપીનાળાથી રાધનપુર સર્કલ વચ્ચેના મગપરાથી નવા રેલવે સ્ટેશનના પાર્કિંગ તરફનો રસ્તો 5 મીટરનો હતો. જેને લઇ વાહન વ્યવહાર કરવો મુશ્કેલ હતો. એક સમયે એક જ વાહન પસાર થઇ શકતું હતું. માત્ર ટુ-વ્હિલરના ઉપયોગ પૂરતા 100 મીટરના આ રસ્તેથી અકસ્માતના ડરે ગણ્યા ગાંઠ્યા વ્હિલર વાહનો જ પસાર થતાં હતાં. મોટા વાહનો માટે આ રસ્તો હતો જ નહીં. સોમવારથી અહીં રેલવે દ્વારા તોડફોડ શરૂ કરાઇ છે. એક બાજુની સીડીઓ તોડી પડાઇ છે. 4 મીટરની પહોળાઇ સુધીના બાંધકામને તોડી પાડવામાં આવશે. ત્યાર બાદ આ રસ્તાને 9 મીટર પહોળો કરાશે. ત્યાર બાદ અહીંથી સામસામે ફોર વ્હિલર સાથે મોટા વાહનો પણ પસાર થતાં ગોપીનાળાથી નવા રેલવે સ્ટેશનનો ટ્રાફિક હળવો થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:03 am

સભા મંડપ ગોકુળમય બન્યો:ભુજમાં સ્વામિનારાયણ મંદિરનો કથા મંડપ ગોકુળમય બની ગયો

ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન હનુમાનજી, ભગવાન રામ, કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે અન્નકુટ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. કથાના વક્તા શાસ્ત્રી સ્વામી વેદાંતસ્વરૂપદાસજીએ બાળ ગોપાલ કૃષ્ણ લીલા વર્ણવતાની સાથે સભા મંડપ ગોકુળમય બની ગયો હતો. નંદબાબા બાળ ગોપાલને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તેના જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા. કથા પારાયણના મુખ્ય યજમાન નારણભાઈ ભીમજી પિંડોરીયા તથા સહ યજમાન કાંતિભાઈ લાલજી ભંડેરીએ પરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત સ્વામી દેવપ્રકાશદાસજી આદિ સંતો સાથે બાળગોપાલ કૃષ્ણને હિરાજડીત સુવર્ણ પારણીયામાં ઝુલાવી ભગવાનના અવતરણને વધાવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતઓ કૃષ્ણ જન્મોત્સોવનો લાભ લઈને આશીર્વચન પાઠવ્યા હતા. સનાતનદાસજી, જગતપાવનદાસજી, દેવકૃષ્ણ દાસજી, રામસ્વરૂપ દાસજી, મુક્ત જીવનદાસજી, લક્ષ્મી પ્રસાદ દાસજી, કોઠારીઓમાં સ્વામી નારાયણમુનિદાસજી, શાંતિ સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદસજીએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કૃષ્ણ જન્મોત્સોવ દરમ્યાન ગીત સંગીતનાં સથવારે રાસની રમઝટ નિર્ભયચરણ દાસજી, કપિલમુનિદાસજી સાથે ભજનપ્રકાશદાસજીએ બોલાવી હતી. જન્મોત્સોવમાં દેશ વિદેશ થી આવેલા મહેમાનો, રાજદ્વારીઓ, હરિભકતો, સંસ્થાઓના હોદેદારો સાથે મુખ્ય કોઠારી મુરજી શિયાણી, ઉપ કોઠારી જાદવજી ગોરસીયા, સલાહકાર સમિતિના રામજી વેકરીયા, શશિભાઈ ઠક્કર, અનિલ બાવા, દેવશી હિરાણી વિગેરે ટ્રસ્ટીઓ, બહોળી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ નરનારાયણ દેવ યુવક અને યુવતિ મંડળ સાથે મહિલા મંડળ સેવા કરી રહ્યા છે. ઉમંગે ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવમાં હજારો હરિભક્તો ઉમટ્યા

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:02 am

તપાસના આદેશ:ડીસાની ફટાકડા ફેક્ટરી, ગોદામમાં આગ બાદ કચ્છનું તંત્ર હરકતમાં

ડિસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં આગ ભભુક્યા બાદ હરકતમાં આવેલા કચ્છ કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ બ્લાસ્ટ થતાં 21 લોકોના મોત થયા છે. કચ્છમાં 24 માર્ચ બાદ ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાછળની ઝાડી, ભુજ તાલુકાના સુમરાસર પાસે ઘાસ ભરેલી ટ્રક, ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ પરના ગેરેજના ગોદામ, ભચાઉના લાયન્સનગરમાં ઝાડીમાં, ભુજના શિવકૃપાનગરમાં બ્રહ્મસમાજવાડી અને સોમવારે જ પડાણા ગામ પાસે આવેલી કંપનીમાં આગ લાગી હતી. જિલ્લામાં આગની ઘટનાઓ વધી છે તો બીજી બાજુ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયાવહ આગને લઇને કચ્છનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને સ્થાનિકે ટીમ બનાવી ફટાકડાની ફેક્ટરીઓની તપાસ કરવા અને કયાંય પણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય કે, ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:01 am

અકસ્માત:ગોડપર પાસે કાર અને બાઈક ટકરાતા બાયડના યુવાનનું મોત

શહેરથી માંડવી જતા માર્ગ પર ગોડપર નજીક બલેનો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોચતા બાયડ ગામના બાઈક ચાલકનું મોત થયું હતું જયારે અકસ્માત બાદ કાર પલટી જતા તેમાં બેઠેલા નાના વરનોરાના ચાર લોકોને ઈજા પહોચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ માંડવી તાલુકાના બાયડ ગામના 24 વર્ષીય સીદીક સત્તાર માંજોઠીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.બનાવ મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી પોતાનું બાઈક નંબર જીજે 12 એચએ 8472 વાળુ લઇ બાયડથી ભુજ તરફ જઇ રહ્યો હતો.એ દરમિયાન ગોડપર નજીક સામેથી આવતી બલેનો કાર નંબર જીજે 12 ડીએમ 2641 વાળી સાથે અકસ્માત થયો હતો.જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેને તાત્કાલિક સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત સર્જાતા કાર રોડ પરથી નીચે ઉતરી પલટી ગઈ હતી.જેથી બલેનો કારથી માંડવી તરફ જતા નાના વરનોરાના અબ્દુલ ગફુર મમણ,સુમામ રમજુ મોખા,હમજા અદ્રેમાન મમણ અને અબુબખર અદ્રેમાન મમણને ઈજાઓ પહોચતા તેમને જીકે જનરલમાં સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે માનકુવા પોલીસે ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 7:00 am

આનું સમાધાન ક્યારે?:આગ પર કાબુ, હજી સળગતા સુરક્ષાના પ્રશ્નો!

ગતરોજ ભયાવહ આગનો અનુભવ ગાંધીધામ સંકુલે કર્યો, મીઠીરોહર પાસે શંકર ટિમ્બરના લાકડાઓથી પ્રસરતી આગ બાજુના લામ્બા ટિમ્બર અને કસ્ટમ બોન્ડમાં પણ લાગી ગઈ અને તેની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે હાઈવેનો એક ભાગ સુદ્ધા કલાકો સુધી બંધ રાખવો પડ્યો, 15થી વધુ ફાયર ફાઈટરોએ 24કલાકની અથાગ મહેનત કરીને તેના પર આખરે આજે સવારે કાબુ મેળવી લીધો છે, પરંતુ આ આગના બુઝાયા બાદ પણ કેટલાક પ્રશ્નો સળગી રહ્યા છે. જે પુછે છે કે આ આર્થિક રાજધાની, પોર્ટ સિટી, ઔધોગિક નગરીમાં જો આવી પ્રચંડ આગ લાગે તો તેનો પ્રત્યુતર આપવા શું પ્રત્યાપ્ત સંશાધનો આપણી પાસે છે? તજજ્ઞો તેનો પ્રત્યુતર નકારમાં આપે છે. ગાંધીધામના ભાગોળે બે ટિમ્બર બેન્સા અને કસ્ટમ બોન્ડમાં પ્રસરેલી આગને 15થી વધુ અગ્નીશમન દળે 24 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી છે, સદભાગ્યે તેમાં કોઇ જાનહાની નથી થઈ પરંતુ અંદાજે 20 કરોડનો માલ બળીને ખાક થઈ ગયો હોવાનો અંદાજ છે. ઘટનામાં આસપાસ આવેલા બન્ને પેટ્રોલ પંપને પ્રશાસને કોઠાસુઝથી બચાવી લીધા હતા. પણ ઔધોગિક નગરીમાં જાહેર વિસ્તારમાં લાગેલી આગને કાબુમાં લાવતા 24 કલાક લાગે તે શું સ્વિકારનીય છે? આ પ્રશ્ન આ આગ સહુ માટે મુકતી ગઈ છે. રાજ્યમાં પાંચ સ્થળોએ ઈઆરસીથી સ્થાપના વર્ષો અગાઉ કરાઈ હતી. આજે પણ ગાંધીધામ ખાતે આવેલા ઈઆરસીમાં કરોડોના સરંજામ છે, જે કોઇ પણ મોટામાં મોટી દુર્ઘટનાને પહોંચી વળવા સક્ષમ છે, પણ તેની પાસે સ્ટાફ કેટલો છે? તો માત્ર 5 વ્યક્તિઓનો! આ અંગે અગાઉ વારંવાર પ્રશ્નો ઉઠી ચુક્યા છે, પણ પ્રશાસનના પેટનું પાણી પણ હલતું નથી. એક પ્રયાસ થોડા મહિનાઓ અગાઉ થયા, પણ ઠેકેદાર પ્રથા, ઓછા પગાર અને કાયમી ન કરવાના કારણે કોઇ નોકરીમાં રુચી લેતું નથી. શું આનો કોઇ નિવેડો પ્રશાસન પાસે નથી? આ યક્ષપ્રશ્ન બની રહ્યો છે, જેનો જવાબ વધુ એક આગથી ન આપવો પડે તે સમયની માંગ છે. આ સાથે ગાંધીધામ મનપામાં પણ અત્યાધૂનિક અગ્નિશમન વ્યવસ્થા ગોઠવાય તે આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:56 am

સુરતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ:400 કલાકારોની કલાકૃતિથી લોકો મંત્રમુગ્ધ, ડીસા અગ્નિકાંડના ફેક્ટરી માલિકની ધરપકડ, PAYTMના નામે માસ્ટરમાઈન્ડે 1 કરોડની છેતરપિંડી કરી

હીટવેવ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે આજે રાજ્યમાં હીટવેવ સાથે કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર પર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે. ડીસા અગ્નિકાંડના ફેક્ટરી માલિકની ઈડરથી ધરપકડ ડીસામાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 21 મજૂરનાં મોત થયાં છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક દિપક મોહનાની અનેખૂબચંદ મોહનાનીની પોલીસે ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પ્રાગણિકાએ ચેસમાં વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો સુરતની 7 વર્ષીય પ્રાગણિકા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચેસમાં. અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી. પ્રાગણિકાએ યુરોપના સર્બિયામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 10 પાસ માસ્ટરમાઈન્ડે 1 કરોડની છેતરપિંડી કરી અમદાવાદમાં 10 પાસ માસ્ટરમાઈન્ડે ટોળકી સાથે મળી 1 કરોડની છેતરપિંડી કરી. PAYTMનો સાઉન્ડ ચાર્જ 1 રૂપિયો કરવાનું કહી 500 વેપારીઓને ખંખેર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા સુરતમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિના 400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને મંત્રમુગ્ધ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો જન્મ તારીખ સુધારવા કચેરીએ નહીં જવું પડે હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારવા RTOનો ધક્કો નહીં ખાવો પડે. ઘરે બેઠા 14 સ્ટેપ્સમાં ઓનલાઈન સુધારો કરી શકાશે. 200 રૂપિયા ચૂકવતા જ સુધારા સાથેનું લાઈસન્સ ઘરે આવી જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો વિરોધ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે વિરોધ થર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયિક રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:55 am

કાર્યવાહી:દુધઇમાં બળાત્કારના આરોપીએ સ્વેચ્છાએ પોતાનું દબાણ તોડી પાડ્યું

અંજારના વિવિધ ગુનાઓના આરોપીએ જુની દુધઈમાં સરકારી જમીન પર કરેલું દબાણ સ્વેચ્છાએ તોડી પાડ્યું હતું. અંજાર પોલીસના સુત્રોએ જણાવ્યું કે આરોપી અલારખા કાસમ સમા (રહે. મફતપરા વિસ્તાર જુની દુધઇ તા.અંજાર) સામે મારામારી,લૂંટ, બળાત્કાર, ગુના દાખલ થયેલા છે. જેણે જુની દુધઇ ભુજ ભચાઉ હાઇવે રોડ સરકારી દવાખાના ની બાજુમાં આવેલ સરકારી જમીન પર પોતાના આર્થીક ફાયદા સારૂ માટે સર્વે નંબર 733 પૈકી વાળી જમીન પર ભેંસોનો તબેલો બનાવી પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરેલ હતો. જે આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી સરકારી જમીન પર નો કબજો ખાલી કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:44 am

ભાસ્કર વિશેષ:મુન્દ્રા આર ડી સ્કૂલને કરોડોના ખર્ચે અપાશે આધુનિક ઓપ

ઇસ 1908માં મુન્દ્રા પંથકના શૈક્ષણિક ક્ષેત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાયેલા દાતા રાણશી દેવરાજ જેના નામ પરથી આર ડી એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ થયું. તેમના દ્વારા તે સમયે રૂા.5000ના અનુદાનથી શરૂ થયેલ સંસ્થા બાદમાં કુંવરજી નાનજી કેનિયા (કુંવરજીબાપા)ના આર્થિક યોગદાન અને માર્ગદર્શન હેઠળ 117 વર્ષની શૈક્ષણિક સફર કાપી તાલુકાના બાળકો માટે ભણતરનો પાયો બની રહી છે. એક સદીથી વધારેની સફર દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક, કન્યા વિદ્યાલય, બી એડ, પીટીસી ઉપરાંત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુધી વિસ્તરણ પામ્યા બાદ હાલ આર ડી હાઈસ્કૂલનું માળખું જર્જરિત થતાં તેના નવનિર્માણ માટેનું ખાતમુહર્ત મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે શ્રીફળ વધેરીને કરાયું હતું. પ્રસંગોચિત ઉદબોધનમાં તેમણે આઠ દિવસ માટે અંતરિક્ષની યાત્રા માટે જનાર ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ જે સંયમથી ત્યાં નવ મહિનાનો સમયગાળો કાઢી નારી શક્તિથી જગતને પરિચિત કરાવ્યું તે ઉદાહરણ ટાંકી ભાવિ પેઢી ના છાત્રો ને તેમની પાસેથી ધૈર્યની શીખ લેવા અનુરોધ કર્યો. ઉપરાંત ટ્રસ્ટ્રીઓને આર ડી હાઈસ્કૂલના નવા સંકુલમાં આધુનિક સાધનો, ડિજિટલ બોર્ડ વસાવી ટેક્નિકલ કોર્સ શરુ કરવા આહવાન કર્યું હતું. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ ઉતરોતર ત્રણ પેઢીઓએ શાળામાં અભ્યાસ કર્યો હોવા પર પ્રકાશ પાડી શાળા સાથેનો તે નાતો હજી પણ અવિરતપણે જારી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ટ્રસ્ટી લક્ષ્મીચંદભાઈ કેનિયા અને કેકિન શાહે પહેલાં નવા સંકુલ માં આઠ રૂમ નો પ્લાન હતો હવે વધુ જરૂરિયાત ઊભી થતાં બાર ખંડ બનાવા ના હોઈ શાળામાં શિક્ષણ મેળવી ગયેલા વિદ્યાર્થીઓ અને દાતાઓ ને યથાશક્તિ આર્થિક યોગદાન આપવાની ટહેલ નાખી હતી. વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ આહીર અને મંત્રી કિશોરસિંહ પરમારે પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર જેસર ની કામગીરી બિરદાવી નવનિર્મિત સંકુલ સમગ્ર કચ્છ માં શ્રેષ્ઠ બની રહે તે માટે પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.પાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ સૌને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમ નું સંચાલન રાજીવ ત્રિવેદી અને આભાર વિધિ આચાર્ય સ્નેહલ વ્યાસે કરી હતી.બીજેપી ના તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને શહેર પ્રમુખ અરવિંદ પટેલ,માણસીભાઈ ગઢવી ટ્રસ્ટ ની કારોબારી સમિતિના સદસ્યો,તમામ શાળાના આચાર્યો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:44 am

તપાસ શરૂ:દેશલપર (ગુંતલી) પાસે મોર અને ઢેલના મૃતદેહ મળી આવ્યા

દેશલપર (ગું)ના જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેના નવા સ્મશાન બાજુના રસ્તે મંગળવારે બપોરે મોર અને ઢેલના મૃતદેહ મળ્યા હતા. મોરનો મૃતદેહ કૂતરાઓએ ફાડી ખાધેલો હતો. ઢેલના અવશેષો પણ નજીકથી મળ્યા હતા. ઘટનાની જાણ વનતંત્રને થતાં મૃતદેહ પી.એમ. માટે મોકલાયા હતા. દેશલપરના (ગું) વિસ્તારના આ મંદિર આસપાસ મોર અને અન્ય પક્ષીઓની સંખ્યા વધુ છે. અહીં લોકો પક્ષીઓ માટે ચણ નાખે છે. મોટી સંખ્યામાં મોર અને ઢેલ જોવા મળે છે. સ્થાનિક ઘનશ્યામ દવેના જણાવ્યા મુજબ વીજ લાઇનમાં સૉર્ટ લાગતા બંને પક્ષીઓના મોત થયા હોવાની શક્યતા છે. આ અંગે વનતંત્રને જાણ કરાતા આર.એફ.ઓ. બિહોલાની સૂચનાથી તાત્કાલિક વનકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહ કબજે લઈ પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વીજ સૉર્ટથી મોત થયું કે અન્ય કોઈ કારણ છે તે પી.એમ. રિપોર્ટ બાદ ખુલશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:43 am

મુશ્કેલી:લખપતના ખરોડાને ખારઇથી જોડતો ડામર રોડ ગાડાવાટથી પણ બદતર

લખપત તાલુકાના ખરોડા ગામના માર્ગની હાલત ગાડાવાટથી પણ બદતર બની છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે, જેથી તાત્કાલિક રસ્તો બનાવવા માંગ ઉઠી છે. તાલુકાના ખરોડા ગામને જોડતા માર્ગ પર ડામર છે જ નહીં અને ઠેરઠેર ખાડાના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સાથે પસાર થવું મુશ્કેલ બન્યું છે. હવે તો મેટલ પર બહાર દેખાય છે, જેથી વાહનોમાં નુકસાની શક્યતા વધી ગઇ છે. જુલરાઈ ગ્રામપંચાયત હેઠળ આવતા આ ગામના આગેવાન અને ગ્રામપંચાયતના સદસ્ય રહેમતુલા ઈશાએ જણાવ્યું હતું કે, માર્ગની હાલત ખરાબ હોવાના કારણે ગામમાં કોઈ વાહન આવતા નથી. કયારેક ઇમર્જન્સીના સમયમાં પણ એમ્બ્યૂલન્સ જેવા વાહન પણ અહીં સુધી આવતા ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર્દીઓને સમયસર દવાખાને ન પહોંચી શક્તા હોવાની પણ રાવ ઉઠી છે. ખરોડાથી ખારઈને જોડતા માર્ગની હાલત લાંબા સમયથી બિસ્માર બની છે, જેથી સત્વરે આ માર્ગનું નવીનીકરણ કરાય તેવી માંગ તેમણે કરી છે. રસ્તો પાર કરવામાં વાહનચાલકોને પડતી પારાવાર મુશ્કેલી

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:42 am

ખંડેર અવસ્થા:તીર્થધામ નારાયણ સરોવરમાં BSNLનું ટેલિફોન એક્સચેન્જ ખંડેર હાલતમાં

એક સમયે નારાયણ સરોવરમાં બીએસએનએલના લેન્ડ લાઈન ફોનના 100 જેટલા જોડાણ હતા. મોબાઈલ યુગ આવતા લેન્ડ લાઈન નહિવત બનતા હાલ નારાયણ સરોવરમાં બીએસએનએલનું ટેલિફોન એક્સચેન્જ ખંડેર અવસ્થામાં જોવા મળે છે.ત્રણ રૂમ સાથેના એક્સચેન્જમાં મોબાઈલનું ફોર જી તેમજ ત્રણ ફાઇબર નેટ કનેક્શન ચાલુ છે. ત્રણ પૈકી એક રૂમના દરવાજા બરાબર છે અને તેમાં મશીનરી કાર્યરત છે બાકીના બે રૂમ અને મુખ્ય દરવાજા તૂટી ગયા છે. તે ઉપરાંત ઓપરેટર રૂમના પણ બારી દરવાજા તૂટી ગયા છે. કમ્પાઉન્ડમાં બાવળની ઝડી ઉગી નીકળી છે.જાગૃત લોકોએ જણાવ્યું હતું કે સમય મુજબ પરિવર્તન થયું પણ બીએસએનએલે પોતાની મિલકત આમ ખંડેર અવસ્થામાં મૂકવી ન જોઈએ. એક્સચેન્જમાં બારી દરવાજા નવા નાખવામાં આવે તેમજ આખા કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીઓ હટાવવામાં આવે એવું લોકો કહી રહ્યા છે. તંત્ર દ્વારા એક્સચેન્જની દરકાર ન લેવાતાં સમયાંતરે તેની હાલત બદતર બની છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:42 am

નવલું નઝરાણું:મુન્દ્રાના જુના બગીચામાં ~ 31 લાખના ખર્ચે નિર્મિત દાદા દાદી પાર્ક વિધિવત ખુલ્લો મુકાયો

મુન્દ્રાના જુના બંદર રોડ સ્થિત રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલું જુનું ઉદ્યાન બિપરજોય વાવાઝોડામાં તહસ નહસ થયા બાદ નગરપાલિકા દ્વારા તેમાં 31 લાખના ખર્ચે દાદા દાદી પાર્કનું નિર્માણ હાથ ધરાયુ હતું. જે પૂર્ણ થતાં તેને આજે મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ શાસ્ત્રોક્ત વિધિથી રીબીન કાપ્યા બાદ વિધિવત ખુલ્લું મુક્યું હતું. વાવાઝોડા બાદ જુના બગીચામાં ધ્વસ્ત થયેલા પુરાતન વૃક્ષોની જગ્યાએ શ્રેણીબદ્ધ નવું વૃક્ષારોપણ કરાયા ઉપરાંત ભવિષ્યને ધ્યાને લઇ બગીચાનું સ્તર પહેલાં કરતા ઊંચું લેવાયું હતું. બાદમાં તેમાં પ્લાન્ટેશન સાથે રમણીય કુંવારાથી સુશોભિત કરી મનોરંજન માટે મ્યુઝિક સિસ્ટમ લગાવાઈ છે. જેમાં રોજ સાંજે જુના ગીતો વગાડવામાં આવશે. ઉપરોક્ત પ્રસંગે પાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ દાદી પાર્ક વયસ્કો માટે નવલું નઝરાણું બની રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. પાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ઉપપ્રમુખ જીતુભાઇ માલમ, શાસક પક્ષના નેતા ધમભા ઝાલા, દંડક દિલીપ ગોર તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર પ્રમુખ અરવિંદ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રણવ જોશી સાથે ભારતીય જનતા પાર્ટીની વિવિધ પાંખના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:41 am

સારવાર:મોબાઈલની વધુ પડતી આદતથી યુવાનો અને બાળકો ગરદનના દુખાવાના શિકાર

મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરનું ચલણ વધતાં યુવાનો અને બાળકો ગરદન કે ડોકમાં દુખાવો અર્થાત્ સર્વાઇકલ સ્પોન્ડિલાઈટિસના શિકાર બની રહ્યા છે. ભુજની જનરલ હોસ્પિટલમાં આ પ્રકારના દૈનિક 10 જેટલા દર્દી સારવાર અર્થે આવતા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એક સંશોધનમાં બહાર આવેલા સર્વે અનુસાર જો ડિજિટલ સંશાધનોનો સ્પાઇન સર્જન ઋષિ સોલંકીના જણાવ્યા મુજબ તાઇવાનની એક હોસ્પિટલે મોબાઈલ ફોનને લાંબા સમય સુધી નીચે જોઇ ગરદન અને સ્પાઇનમાં થતો દુખાવો જેને “text neck syndrome” પણ કહે છે, એ વિષય ઉપર સંશોધન પત્ર તૈયાર કરી, કેટલાક તારણો તપાસ્યા અને સૌથી ગંભીર બાબત તો એ જોવા મળી કે, બાળકોને અને યુવાનોને મોબાઈલની એવી લત લાગી છે કે,કલાકો સુધી નીચું જોઈને મોબાઈલમાં વ્યસ્ત રહે છે.હવે તો કોલેજ અને શાળામાં પણ છેલ્લા ૫ વર્ષથી ઓન લાઇન અભ્યાસને કારણે યુવાનો ઝડપથી શિકાર બની રહ્યા છે. એક સમયે આ રોગ માત્ર મહિલાઓમાં જોવા મળતો પણ હવે દરેકને તે ઝપટમાં લે છે.મોબાઈલ ઉપરાંત સૂવાની ખામી ભરેલી પધ્ધતિ, ઊંચા અને સખત તકિયાનો ઉપયોગ, સતત વાંચન અને લેખન, ટેન્શન, ડિપ્રેશન, ક્રોધ, અનિદ્રા, ઉમર પ્રમાણે ઘસારો મુખ્ય છે. આ રોગમાં સ્પાઇન મણકાના અસ્થિઓની ધાર પરસ્પર કંટક બનવાથી નજીકની માંસપેશીઓમાં સોજા આવે છે, પરિણામે આસપાસની નસ દબાવાથી પીડા થાય છે.આ ઉપરાંત ખભા સુધી દુખાવો, ચક્કર આવવા,હાથમાં અને કાંડામાં સુનપન તથા ઝણઝણાટી અને દુખાવો થાય છે.ઊંઘમાં ખલેલ,ચપળતા અને ગતિશીલતામાં અવરોધ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં સ્પાઇન સર્જન પાસેથી માર્ગદર્શન જરૂરી બને છે. મોબાઈલને આંખની સમાંતર રાખી જોવું આ રોગની સારવારમાં ગંભીર સંજોગોમાં ઓપરેશન થી લઈને ફિઝિયો થેરાપી અને દર્દમાં રાહત માટે દર્દ નાશક દવા ગણાવી શકાય.જીવનશૈલીમાં પણ પરિવર્તન જરૂરી છે.સ્ક્રીન સમયની મર્યાદા જાળવવી, મોડીરાત સુધી મોબાઈલ જોવાનું બંધ કરવું, મોબાઈલને આંખની સમાંતર રાખી જોવું, ઊઠવા બેસવાની પધ્ધતિમાં ફેરફાર કરવો, પૂરતી ઊંઘ વિગેરે જરૂરી બને છે એમ તબીબે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:35 am

હવામાન:ભુજમાં 41.3 ડિગ્રી, આજે ગરમી વધવાની શક્યતાએ યલો એલર્ટ

મંગળવારે ભુજમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે પણ ગરમી વધવાની સંભાવનાએ યલો એલર્ટ જારી કરાયું છે. જિલ્લાના તમામ મથકો પર પારો 39 ડિગ્રી કે તેથી વધુ રહેતાં દિવસ ગરમ બન્યો હતો. જિલ્લા મથક ભુજમાં નવ દિવસ બાદ અધિકત્તમ ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી કરતાં ઉપર ચડીને 41.3 ડિગ્રી થતાં ફરી કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગના આંકડા અનુસાર ઉષ્ણતામાન સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધુ રહેવાની સાથે સાંજે 5.30 કલાકે 40 ડિગ્રી રહ્યું હતું. જો કે, સૂર્યાસ્ત બાદ ગરમીની અસર ઓસરી હતી. લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ મથકે પારો એક આંક ઉંચકાઇને 40.4 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, અંજાર, આદિપુર સહિતના વિસ્તારોમાં મધ્યાહ્ને આકરા ઉનાળાના એંધાણ આપ્યા હતા. લઘુતમ ઉષ્ણતામાન 22.4 ડિગ્રી રહેતાં રાત્રે પ્રસરતી ઠંડક ગાયબ જણાઇ હતી. નલિયામાં બેવડી મોસમ જારી રહી હતી. અહીં અધિકત્તમ 39 ડિગ્રી સાથે દિવસ ગરમ બન્યો હતો જ્યારે લઘુતમ 15.5 ડિગ્રી રહેતાં રાત્રે ગુલાબી ઠંડક અનુભવાઇ હતી. છેલ્લા કેટલાક સમયથી અનુભવાઇ રહેલી મિશ્ર મોસમથી નગરજનો અકળાયા હતા. કંડલા બંદરે 39.9 અને 23 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:34 am

કામગીરી:ભુજ પાલિકાનો વેરાવસુલાતનો નવો વિક્રમ : આંકડો 22.91 કરોડે પહોંચ્યો

ભુજ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 22.91 કરોડની ઐતિહાસિક રકમ વસુલાત કરવામાં આવી હતી. આ સાથે 2022-23નો 22.85 કરોડની વસુલાતનો વિક્રમ તૂટી ગયો છે. આ અંગે નગરપાલિકાના ટેક્સ કમિટીના ચેરમેન બિંદીયાબેન ઠક્કરે જણાવ્યું હતું કે સમગ્ર ટીમના સાથ અને લોકોના સહકારથી આ વેરા વસુલાત ઝુંબેશ ઐતિહાસિક બની છે. ભુજ શહેરના નાગરીકોની સહેલાઈ માટે જાહેર રજાના દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રખાઈ હતી. પ્રોપર્ટી ટેક્ષની વસુલાત અંદાજીત રૂ. 19.60 કરોડ થઇ હતી, તેમજ વ્યવસાય વેરો અંદાજીત રૂ. 1.88 કરોડ અને દુકાન ભાડું/ઓન રોડ હોર્ડિંગ્સ ના રૂ. 1.42 લાખ એમ મળીને અંદાજીત કુલ રૂ. 22.91 કરોડ જેટલી ઐતિહાસિક વેરા વસુલાતની આવક થયેલ હતી. અગાઉ 2022-23માં ટેક્સ કમિટીના ચેરમેન ધીરેન લાલન વખતે રૂ. 22.85 કરોડની વિક્રમી વસુલાત થઇ હતી. જે વિક્રમ હવે તૂટ્યો છે. જાહેર રજાના દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રખાઈ હતી ચાલુ વર્ષના જ વેરાધારકોને જૂન સુધી 10 ટકા રીબેટ આગામી નાણાકીય વર્ષ 2025-26 ની કામગીરી અંદાજીત તા. 15.04 ના રોજ ઈ-નગર ચાલુ થશે, ભુજ નગરપાલિકા દ્વારા વેરા ભરાવવાની તારીખ સમાચારપત્ર દ્વારા જાણ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના જેમના માત્ર ચાલુ વર્ષના લેણાં બાકી હશે તેમને માસ એપ્રિલ, મે અને જુન 2025 સુધી અંદાજીત 10% જેટલું મિલકત વેરા પર રીબેટ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:34 am

ભાસ્કર એક્સક્લુઝિવ:નવા 4100 શિક્ષકોની ખાસ ભરતી પહેલા ટેટની પરીક્ષા યોજવી પડશે

કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ઘટની વ્યાપક સમસ્યાને પગલે સરકાર દ્વારા ખાસ કિસ્સામાં કચ્છમાં 4100 શિક્ષકોની ભરતી કરવાની સૈદ્ધાંતિક જાહેરાત કરાઈ છે આ જાહેરાતને પખવાડિયુ થઈ ગયું છે. જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો અને સંલગ્ન વર્તુળોમાં ભરતી કેવી રીતે થશે ? તે સહિતની બાબતને લઈને અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ થઇ રહી છે. સરકાર દ્વારા હજી સુધી પરિપત્ર કરી સ્પષ્ટીકરણ કરાયું નથી પરંતુ હાલની સ્થિતીએ જોઈએ તો શિક્ષકની ભરતી માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે જે છેલ્લે 2023માં લેવાઇ હતી મોટાભાગના અન્ય ભરતીમાં સમાઈ ગયા હોવાથી આ નવી ભરતીમાં પર્યાપ્ત ઉમેદવાર મળી રહે અને નવા ઉમેદવારોને પણ લાભ મળે એ માટે ભરતી પહેલા ટેટની પરીક્ષા યોજવી જરૂરી હોવાનું સંલગ્ન સૂત્રો જણાવી રહ્યા છે. શિક્ષણ વિભાગના નિયમો મુજબ ધો.1 થી 5 માં શિક્ષક બનવા માટે ટેટ-1 અને ધો.6 થી 8મા શિક્ષક માટે ટેટ-2 ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. છેલ્લે 2023 માં ટેટ-1 ની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે કુલ 86,025 માંથી માત્ર 2697 ઉમેદવારો પાસ થયા હતા. 2023 અગાઉ 2018મા પરીક્ષા લેવાઈ હતી.શિક્ષણ વિભાગે જુલાઈ 2024 માં કરેલા ઠરાવમા સ્પષ્ટ કહ્યુ છે કે, વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉતીર્ણ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ, પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. વર્ષ 2023 પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહિ. પરંતુ જો ઉમેદવાર નિયમ મુજબ વયમર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ભાગ લઇ શકશે.2023 માં લેવાયેલ ટેટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો મેરીટના ધોરણે અગ્રતાક્રમ મુજબ નિમણુંક મેળવી લેશે પણ કચ્છમાં ખાસ ભરતી માટે 2023 માં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો ન મળે તેવા સંજોગો સર્જાય તેવી ભીતી છે કારણકે 2023 માં ટેટ પરીક્ષા પાસ કરેલ મોટાભાગના ઉમેદવારોએ સામાન્ય ભરતીમાં નિમણૂક મેળવી લીધી હશે. જેથી હવે પછી કચ્છમાં થનાર ખાસ ભરતીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવાયેલ વિવિધ માનાંકો - સૂચકોને ધ્યાનમાં લઈને તેમાં દર્શાવાયા મુજબ શિક્ષકો મળી રહે તે હેતુથી ટેટ (1 2) પરીક્ષાનું આયોજન કરીને તેમાંથી પસંદ થનાર પરીક્ષાર્થીઓમાંથી મેરીટના ધોરણે ભરતી કરવામાં આવે તે જરૂરી હોવાનું સંલગ્ન વર્તુળો જણાવી રહ્યા છે. નિવૃતિ સુધી કચ્છમાં જ નોકરી કરવાની છે શરત ખાસ મહત્વની બાબત એ છે કે, કચ્છમાં સરકાર દ્વારા જે શિક્ષકોને મૂકવામાં આવે છે તેઓ અમુક વર્ષ બાદ ફેરબદલીનો લાભ લઇ પોતાના પસંદગીના જિલ્લામાં બદલી કરાવી લે છે પરિણામે કચ્છમાં શિક્ષક ઘટનો ખાડો પુરતો નથી ત્યારે ખાસ કિસ્સામાં કચ્છમાં 4100 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં નિવૃત્તિ સુધી શિક્ષકને કચ્છમાં જ નોકરી કરવાની મુખ્ય શરત મૂકવામાં આવી છે એટલે કે નિમણૂક મળ્યા પછી ફેરબદલી કરાવી શકાશે નહીં. બે વર્ષમાં 20 હજાર તાલીમાર્થીઓ બહાર નીકળ્યારાજ્યમાં પીટીસી અને બી.એડ પાસ કરી દર વર્ષે 10 હજાર તાલીમાર્થી બહાર નીકળે છે જો ટેટ 1 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો 20 હજાર તાલીમાર્થીઓ તેમાં જોડાઇ શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:33 am

ઘટસ્ફોટ:હનીટ્રેપ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ કોંગ્રેસી નગરસેવક

શહેરમાં રહેતા 25 વર્ષીય યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 22 લાખ પડાવી લીધાના ચકચારી બનાવમાં એલસીબીએ હીલગાર્ડનમાં મળવા આવેલી યુવતી અને તેના પતિને વડોદરાથી ઝડપી લેતા ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રાથમિક પૂછપરછમાં સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ આરોપી ભુજનો કોંગ્રેસી નગરસેવક હોવાનું સામે આવ્યું છે. આજે રિમાન્ડની માંગ સાથે આરોપી દંપતીને કોર્ટમાં રજુ કર્યા બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે. ખાટકી ફળિયામાં રહેતા મહેબુબ શબ્બીર ખાટકીને હનીટ્રેપ કરવાના ગુનામાં ફરાર કીડાણાની આરોપી યુવતી શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે અને મહમ્મદ ઉર્ફે મામદ ઈસ્માઈલ નોડેને એલસીબીએ વડોદરાથી દબોચી લીધા છે. આરોપી યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પરિચય કેળવ્યો હતો. જે બાદ માત્ર વાતચીત કરવા માટે આવી તેના ફોટો પાડી લઇ તેને ધાક ધમકી કરવામાં આવી હતી. ફરિયાદી યુવક પાસેથી 22 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે મામલે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપી નગર સેવક અબ્દુલ હમીદ સમા, મુન્દ્રાના હરિસિંહ ધનુભા જાડેજા અને સરફરાજ રઝાક ખાટકીની અટકાયત કરવામાં આવી હતી. હવે આ ગુનામાં ફરાર કીડાણાના દંપતીને એલસીબીએ વડોદરાથી ઝડપી લીધા છે. સમગ્ર મામલે એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી યુવતી અને તેના પતિની પૂછપરછ કરતા સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ આરોપી અબ્દુલ હમીદ સમા હોવાનું સામે આવ્યું છે. યુવતીના મોબાઈલમાંથી નગરસેવકે જ મેસેજ મારફતે ભોગબનનાર યુવક સાથે વાતચીત કરી હતી. જે બાદ યુવકને મળવા માટે જવાનું કહી યુવતીને ધમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, હીલગાર્ડનમાંથી બાઈક પર બેસીને જતા યુવક-યુવતીના ફોટો પણ આરોપી નગરસેવકે જ પાડ્યા હતા. હનીટ્રેપના આ પ્રકરણમાં યુવતી અને તેના પતિનો ઉપયોગ કરી રૂપિયા 19 લાખ પડાવ્યા બાદ મુન્દ્રાના કોંગ્રેસી આગેવાને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી વધુ ૩ લાખ પડાવ્યા હતા. જોકે આ મામલે આરોપી દંપતીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી વધુ પૂછપરછ કરવામાં આવશે. રૂપિયા ક્યાં તે મોટો સવાલઆ મામલામાં યુવક પાસેથી 22 લાખ પડાવી લેવાયા છે. જોકે આ રકમ હાલ કેની પાસે છે તે પોલીસ પણ તપાસ કરી રહી છે. પકડાયેલા દંપતી પાસે આટલી મોટી રકમ નથી તેવુ હાલ પૂછપરછમાં જણાવે છે. ત્યારે આ રકમ કોની પાસે ગઇ તે બાબતે તપાસ જારી છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:32 am

ભુજ નજીક તળાવનું થઈ રહ્યું હતું પુરાણ:જાગૃતોએ તંત્રનું ધ્યાન દોર્યું, સરકારી રેકર્ડ તપાસી તાત્કાલિક બંધ કરાવ્યું

ભુજ નજીક શિવ પારસ મંદિરની સામે રોડ ટચ અંદાજે અઢીથી ત્રણ એકર જેટલા દાયકાઓ જુના તળાવ પર માટીથી પુરાણ કરીને જળસંગ્રહ નષ્ટ કરવાની કામગીરી બે દિવસથી થઈ રહી હતી. જાગૃતોનું ધ્યાન જતા લેખિતમાં પ્રાંત તેમજ કલેકટર સુધી રૂબરૂ રજૂઆત કરતા સ્થળ તપાસ કરવામાં આવી. જેમાં 7/12 મુજબ પંચાયતની માલિકી હોતા હાલ કામ બંધ કરાવવામાં આવ્યું છે. જોકે દબાણ કરનારે 1981 માં તેના નામે મામલતદારે નોંધ પાડી હોવાનો દસ્તાવેજ બતાવ્યો હતો. જ્યાં સુધી સ્પષ્ટ ખરાઈ ન થાય ત્યાં સુધી કલેકટર દ્વારા કામ અટકાવવા આદેશ આપવામાં આવ્યો હતો. ભુજ નજીક સુખપરની સીમમાં સર્વે નંબર 152/153 માં સરકારી રેકર્ડ મુજબ પંચાયતની માલિકીની જમીન કે જે તળાવ તરીકે નોંધ પાડવામાં આવી છે, તેનામાં અજાણ્યા લોકો દ્વારા દબાણની કામગીરી થતી હોઈ પાણી સંગ્રહ માટે જાગૃતિનું કામ કરતા જળપ્રેમીઓએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જેને પગલે નાયબ કલેકટર દ્વારા શહેર મામલતદાર, સિંચાઈના નાકાઈ, ટીડીઓ, સર્કલ, તલાટી, માનકુવા પીએસઆઇ તથા તેમની ટીમને સાથે લઈને સ્થળ પર આ કામગીરી કરતા લોકો પાસે જમીનની માલિકીના દસ્તાવેજો માંગ્યા હતા. જે રજૂ કરી શક્યા ન હોતા. વધુ વિગત આપતા શહેર મામલતદાર ડી.કે.રાજપાલે જણાવ્યું કે, અમે તાત્કાલિક ત્યાં આ પ્રવૃત્તિ બંધ કરાવી છે. તેમજ જો હવે ત્યાં દબાણની કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. જળ વ્યવસ્થાપન માટે સતત કાર્યરત કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ રજાનો લાભ લઈને રાત દિવસ આ જળાશય પુરવા માટે માટી નાખવાની શરૂઆત કરી હતી. જોકે તાત્કાલિક તંત્ર દ્વારા કડક કામગીરી કરતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભુજ - મુન્દ્રા રોડ પર થોડા વર્ષ અગાઉ આ રીતે જમીન દબાણ થયું હતુંભુજ માંડવી રોડ પર તળાવ દબાણની પ્રવૃત્તિ વહીવટી તંત્ર સુધી પહોંચી અને તાત્કાલિક પગલાં લેવાયા તે જ રીતે થોડા વર્ષ અગાઉ ભુજ મુન્દ્રા રોડ પર એક રેસીડેન્સી માટે તળાવની જમીન હડપ કરવામાં આવી હતી ત્યારે લેવાયા હોત તો સરકારની કરોડો રૂપિયાની જમીન બચી ગઈ હોત. આ સરકારી રેકર્ડમાં નોંધાયેલું જળાશય તેમજ ગૌચર જમીનના અનેક વિવાદો બાદ કોઈ કારણસર બધું જ શમી ગયું હતું ભાસ્કર સવાલ: દબાણ સાબિત જ થઈ ગયું છે, તો કાર્યવાહી કેમ નહીં ?સરકારી રેકર્ડ મુજબ 1 હેક્ટર, 20 ગુઠા તળાવ નોંધાયેલું છે. તેમાં દબાણ થઈ રહ્યું છે તે પણ તપાસનીશ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી તો ત્યારે જ સાબિત થયું છે તો સવાલ ઊઠે કે, સ્થળ પર બે જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો માટીનું પુરાણ કરતા હોય તો શ્રી સરકાર જમીન પર દબાણના કાયદા હેઠળ તાત્કાલિક વાહનો સીઝ કરી શકાય. તેમજ રોજનોંધમાં લખવામાં આવ્યું છે કે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કામગીરી પણ થઈ શકે. જો કે તંત્રએ કામ બંધ કરાવ્યું અને બીજીવાર પ્રયાસ કરાશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:29 am

ભાસ્કર ખાસ:25 વર્ષમાં ઓટિઝમગ્રસ્ત 1 હજાર બાળકોને મ્યૂઝિક, સ્પીચ, ડ્રોઇંગમાં જોડ્યાં, 30 બાળક સામાન્યની સાથે ભણતા થયાં

વર્ષો પૂર્વે ઓટિઝમ ધરાવતા બાળકોને મેઇન સ્ટ્રીમના બાળકો સાથે ભેળવવા અઘરા હતા. ઓટિઝમ ધરાવતા બાળકો ભીડથી દુર રહેવાનું અને ઓછું બોલવાનું પસંદ કરે છે, સામાન્ય બાળકો સાથે ભળતા નથી. જો કે વડોદરામાં 25 વર્ષથી ચાલતા ગુજરાતના પહેલા ઓટિઝમ સેન્ટરમાં 1 હજાર ઓટિઝમ ધરાવતા બાળકોને મ્યુઝિક, ડ્રોઇંગ, આર્ટ્સની થેરાપી થકી ગણિતમાં આગળ વધારી 30 બાળકોને સામાન્ય બાળકો સાથે શાળામાં ભણતા કર્યા છે. સેન્ટરમાં 3થી 33 વર્ષના 158 બાળકો છે. ઓટિઝમવાળા બાળકો યાદશક્તિથી આંકડાની મોઢે ગણતરી કરી શકે છે, તેમનામાં તાલીમને ગ્રહણ કરવાની ક્ષમતા છે. બાળકોની ક્ષમતા જાણી તે પ્રમાણેની તેમને તાલીમ આપી મનગમતી પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે છે. ઓટિઝમનું અત્યાર સુધી સચોટ કારણ નથી જાણી શકાયુ, પરંતુ જેનિટિકલી, ગર્ભાવસ્થા દરમિયાન માનસિક સ્થિતિ સારી ના હોય તેવા અલગ અલગ સંજોગોમાં થઈ શકે છે. કેસ સ્ટડી - 1 : સ્વિમિંગ થેરાપી થકી શારીરિક ક્ષમતા સારી થઇઓટિઝમ ધરાવતા સગીરને સ્વિમિંગ અને સૂર્યનમસ્કાર શીખવાડવામાં આવ્યા. 5 વર્ષથી રોજ 1 કલાક સ્વિમિંગ કરતાં લોકો સાથે ભળતો થયો છે. સ્વિમિંગથી કસરત થાય છે અને શરીર મજબૂત બને છે. આત્મવિશ્વાસ વધતાં ડર દૂર ભાગે છે. કેસ સ્ટડી - 2 : યુવાને આર્ટવર્ક બનાવીને આવક ઊભી કરી32 વર્ષીય યુવાન વેસ્ટમાંથી કોઇ વસ્તુ બનાવતો હતો. તેની માતાએ આર્ટ થેરાપી અપાવી. હવે તે આર્ટવર્ક બનાવી આવક ઊભી કરી રહ્યો છે. તેના થકી તે નવા લોકોની સાથે વાતચીત કરી રહ્યો છે. તે સાથે રસોઇ પણ બનાવી શકે છે. કેસ સ્ટડી - 3 : સામાન્ય બાળકો સાથે ભણી બીજો નંબર લાવ્યોધો.5મા ભણતા બાળકને ડ્રોઇંગ અને આંકડામાં રસ હતો. તેને કંઇ પણ સારી રીતે યાદ રહેતું હતું. તેને ડ્રોઇંગ થેરાપી આપી ગણિત તરફ વાળ્યો. અત્યારે તે મેઇન સ્ટ્રીમમાં સામાન્ય બાળકો સાથે શાળામાં અભ્યાસ કરી ધો.5માં બીજો નંબર લાવી રહ્યો છે. ઓટિઝમનું ચોક્કસ કારણ જાણી નથી શકાયુંઓટિઝમનું ચોક્કસ કારણ જણાયું નથી. પ્રિઝર્વેટિવ તેમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. 8થી 12 વર્ષ મહત્વના હોય છે. ત્યારે તેમને વધારે સહકાર આપી ઓટિઝમને વધારતા રોકી શકાય છે.> પૂર્વી ભીમાણી, સાઇકોલોજિસ્ટ તેમને એકલતા ગમે છે, ધીમે ધીમે આગળ વધારોઓટિઝમગ્રસ્ત બાળકો એકલતા પસંદ કરે છે. તો વાલી તેમને સામાન્ય બાળકો સાથે ભળવામાં બળજબરી ન કરે. એક રાતમાં સામાન્ય લોકો સાથે ભળતા નથી. મનપસંદ પ્રવૃત્તિઓમાં આગળ વધારો .> ડો. ચિરાગ બારોટ, સાઇકોલોજિસ્ટ

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:22 am

કાર્યવાહી:બહેનની ભાઈને ધમકી,તને જાનથી મારી તારા ટુકડા-ટુકડા કરી નાખીશ

ભાઈને પિતાની મિલકતમાં ભાગ ન મળે તે માટે બહેને માતા-પિતાને ભાઈ વિશે ચઢામણી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભાઈએ બહેનને ફોન કરી પિતાને અમારા વિશે ચઢામણી ન કર તેમ કહેતા બહેન ઉશ્કેરાઈ ગઈ હતી અને ભાઈને જાનથી મારી નાખવાનું કહી તેના ટુકડા-ટુકડા કરી દેશે તેવી ધમકી આપતાં અટલાદરા પોલીસે બહેન સામે ધમકીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ બિહારના અને હાલ અટલાદરા સાયરંગ હાઇટ્સ ખાતે રહેતા રજનીશકુમાર જનકપ્રસાદ શ્રીવાસ્તવ હૈદરાબાદની એ.બો.વ્યુ કંપનીમાં વર્ક ફ્રોમ હોમ કરે છે. તેમની નાની બહેન પ્રિયાના લગ્ન 2017માં ચંપારણના પંકજ શ્રીવાસ્તવ સાથે થયા હતા. પ્રિયા તેના માતા-પિતાને ભાઇ વિષે ચઢામણી કરતી હતી. પ્રિયા તેના માતા-પિતાને કહેતી હતી કે, પ્રવિશ કે રજનીશ તમારું ધ્યાન રાખતા નથી, તમારે તેમને મિલકતમાં ભાગ નહીં આપવાનો. પ્રિયા રજનીશ સાથે માતા-પિતાને વાત પણ ન કરવાનું કહેતી હતી. 19 માર્ચે રજનીશના ભાઈ અને જીજાજી પંકજ રાજ સાથે કોન્ફરન્સ કોલ ઉપર પ્રિયાને સમજાવવા કહેતા હતા કે, અમારા મામલામાં પ્રિયા ના પડે. બાદમાં રજનીશના ભાઈના ફોન પર પ્રિયાએ ફોન કરી ધમકી આપી હતી. 22 માર્ચે રજનીશકુમારે પ્રિયાને કોલ પર કહ્યું કે, તુ ખોટી રીતે પિતાજીને ચઢામણી ના કરીશ. ત્યારે પ્રિયાએ રજનીશકુમારને જાનથી મારી નાખવાનું કહી તારા ટુકડા ટુકડા કરી નાખીશ તેમ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:21 am

કાર્યવાહી:2 પુત્રીને અડપલાં કરતા પિતાનું ગળું ઓઢણીથી દબાવી માતાએ હત્યા કરી

વેમાલી ગામમાં રહેતો પિતા પોતાની બંને દિકરીઓને રાતે અડપલા કરતો હતો ઉપરાંત દિવસભર ઘર કંકાસ કરતો હતો જેનાથી કંટાળીને પત્નીએ સોમવારે સાંજે 6 વાગે ઝઘડી રહેલા પતિને ઓઢણી વડે ગળે ફાંસો આપી હત્યા કરી દીધી હતી. આ સમગ્ર હકીકત અંગે આરોપી ભાભી જ્યોતિએ પોતાની નણંદ સંગીતાને જાણ કરી હતી. મંજુસર પોલીસે આ સમગ્ર ઘટના અંગે વેમાલી ગામમાંથી આરોપી પત્નિ જ્યોતિબેન રાઠોડિયાની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.સાવલી તાલુકાના નાની ભાડોલ ગામમાં રહેતી સંગીતાબેન રાઠોડિયાની ફરિયાદ અનુસાર, તેના નાના ભાઈ સંજયે નાની ભાડોલમાં રહેતી જ્યોતિ રાઠોડિયા સાથે પ્રેમલગ્ન કર્યાં છે. તેમને સંતાનમાં 3 દિકરીઓ અને 1 દિકરો છે. 31 માર્ચના રોજ રાતે 8 વાગે ભાભી જ્યોતીએ નાની ભાડોલમાં રહેતા અંકિત વસાવાને ફોન કરીને નણંદ સંગીતા સાથે વાત કરાવવા જણાવ્યું હતું. જ્યોતિએ સંગીતાને જણાવ્યું હતું કે, ‘સાંજના 6 વાગે હું ઘરકામ કરીને પરત ઘરે આવી હતી. આ વખતે મે સંજયને ઘરમાં ગળે ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં નીચે પડેલો જોયો હતો, જ્યારે મે આજુ-બાજુવાળાને બોલાવીને તેને દવાખાને લઈ જઈએ છીએ.’ જ્યોતિના ફોન બાદ સંગીતા પોતાના પિયર વેમાલી ખાતે આવી હતી. આ વખતે ભાભી જ્યોતિબેન ઘરે હાજર હતી અને તેને ભાઈ સંજય વિશે પુછતા ભાભી જ્યોતિએ જ પોતાના પતિનું મર્ડર કર્યું હોવાનું કબુલ્યું હતું. જોકે આ બાદ મંજુસર પોલીસે ઘરે આવીને જ્યોતિ સંજયભાઈ રાઠોડિયાની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વેમાલી ગામમાં સોપો પડી ગયો હતો. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી જ્યોતિની નણંદ સામે કબૂલાત: મને ગુસ્સો આવ્યો, મેં આવેશમાં આવીને ઓઢણીથી ગળું દબાવ્યું​​​​​​​પત્નિ જ્યોતિએ નણંદ સંગીતા સામે પતિ સંજયને કેમ માર્યો તેની કબુલાત કરતા જણાવ્યું કે, ‘ગઈ કાલે સાંજના 6 વાગે હું વેમાલી ખાતે જઈ ઘરકામ કરીને પરત ઘરે આવી હતી. આ વખતે સંજય મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને મને ગમે તેમ ગાળો બોલતો હતો. જેથી અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને સંજય આ અગાઉ પણ મારી દિકરીઓને અવાર-નવાર રાત્રીના પરેશાન કરી અડપલા કરતો હોવાથી મને તેના પર એકદમ ગુસ્સો આવી ગયો હતો. મે આવેશમાં આવી જઈને ઘરમાં રહેલી ઓઢણી લાવી તેનું ગળુ દબાવી દેતા તે મૃત્યું પામ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:20 am

કરુણ:મિત્રના લગ્નમાંથી પરત ફરતી વેળા નંદેસરી પાસે સર્વિસ રોડના ખુલ્લા ખાડામાં પડતાં યુવકનું મોત

નંદેસરીના સર્વિસ રોડ પર મધ્ય રાત્રીએ ખુલ્લા ખાડમાં બાઈક ચાલક પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 2 કલાકની સારવાર બાદ મોત થયું હતું.વડોદરા નજીક આવેલા રૂપાપુરા ગામના સાતઘરવાળા ફળિયામાં રહેતા 21 વર્ષીય સતિષકુમાર ગોહિલ ખાનગી કંપનીમાં હેલ્પર છે. સોમવારે મિત્રના લગ્ન હોવાથી નંદેસરી ચોકડી પાસે આવેલી બાબાની દરગાહ પાછળ લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાંથી રાત્રીના પોણા ચાર વાગ્યાના અરસામાં ઘરે આવી રહ્યા હતા. ત્યારે વડોદરા-વાસદ હાઈવેના સર્વિસ રોડ પર બાબાની દરગાહ પાસે ખુલ્લા ખાડામાં તે બાઈક લઈને પડ્યા હતા. ખાડામાં પડવાથી તેના શરીરે ઈજાઓ પહોંચી હતી. બાઇક સવારે જાતે જ પોતાના મિત્રને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી હતી. જેથી તેમનો મિત્ર તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો અને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મળસ્કે 4 વાગે સતિષભાઇની સારવાર શરૂ કરવામાં આવી હતી અને 5.40 તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેમના પિતા મહેન્દ્રભાઇ ગોહિલની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી. આ ખાડો વહેલી તકે પૂરી દેવો જરૂરી ઃ પિતાઆ ખાડો ઘણા સમયથી આવો જ છે, આમાં તંત્રની ભૂલ છે. તેઓએ આ રીતે ખાડો કેવી રીતે ખુલ્લો રાખી શકે છે. તંત્ર દ્વારા ખાડો વહેલી તકે પૂરી દેવો જઈએ. જેથી વધુ આવા કોઈ બનાવ ન બને. > મહેન્દ્ર ગોહિલ, પિતા 7 મહિના પહેલાં હું આ જ ખાડામાં પડ્યો હતોસર્વિસ રોડ હોવાને કારણે સામેથી પણ વાહનો આવે છે. એટલે વાહનોની લાઈટોની કારણે આ ખાડો દેખોતો નથી. 7 મહિના પહેલા હું ખુદ આ ખાડામાં બે વાર પડી ચૂક્યો છું. ઉપરાંત આવતા-જતા અનેક લોકો આ ખાડમાં પડી ચૂક્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે મને એવી કોઈ ઈજા પહોંચી નહોતી પણ આ ખાડો પૂરી દેવો જોઈએ. > જીતેન્દ્ર ગોહિલ, સતિષના સગા

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:19 am

રજૂઆત:વકીલ અને માતા સામે છેતરપિંડીની ફરિયાદ અંગે વકીલ મંડળે પોલીસ સામે શંકા દર્શાવી

વડોદરા વકીલ મંડળના હોદ્દેદારોએ આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને વકીલ અને તેની માતા વિરુદ્ધ થયેલી ફરિયાદમાં નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી હતી. સેવાસી રહેતા વકીલ મયંક પટેલ અને તેની માતા સામે હિંગલોટ ગામની સીમમાં આવેલ જમીન માટે 65 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે ફરિયાદ અને પોલીસની કાર્યવાહી ઉપર શંકા ઉપજાવી હતી.અને ગઈ કાલે બરોડા બાર એસોની તાકીદની બેઠક બોલાવી હતી.અને ઠરાવ કરી આ અંગે ગ્રામ્ય એસપી સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરવાનું નક્કી કર્યું હતું. શહેર નજીકના હિંગલોટ ગામે ગણોત ધારા હેઠળની જમીન આવેલી છે. આ જમીન સેવાસી ગામના વકીલ મયંક રમેશભાઈ પટેલ અને તેની માતા વિજયાબેન બિનખેતીની જમીન છે કહી તરસાલી વિસ્તારમાં રહેતા ખેડૂત મિનેશ પટેલને વેચાણે આપવાનું નક્કી કર્યું હતું. અને આ જમીનના સોદાના બાનાખત પેટે માટે રૂપિયા 65 લાખ લીધા હતા. પરંતુ જમીન બિન ખેતીની નહીં હોવાથી ખેડૂત છેતરાયા હોવાથી તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે વડોદરા વકીલ મંડળે વાંધો ઉઠાવ્યો છે. અને કારોબારી સભ્યોની તાકીદની બેઠક બોલાવી વકીલ મયંક પટેલ સામે થયેલ ફરિયાદની નિષ્પક્ષ તપાસ માટે વડોદરા ગ્રામ્ય અને એસપીને રજૂઆત બાબતે ઠરાવ કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદમાં દીવાની તકરાર રહેલી છે. બાનાખત કરારનો વિશેષ રીતે અમલ કરાવી લેવાનો દાવો કરવાના સ્થાને ફરિયાદીએ શોર્ટકટ અજમાવી ખોટી ફરિયાદ કરી હોવાનું વડોદરા વકીલ મંડળના સભ્યોનું માનવું છે. આધાર પુરાવા વગરની આ ફરિયાદ વડોદરા વકીલ મંડળ વખોડી કાઢે છે. પોલીસે ફરિયાદ સ્વીકારવામાં ઉતાવળ દાખવી હોય શંકાસ્પદ છે.એમ વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું. આજે વકીલ મંડળના હોદ્દેદારો એ કોઠી કચેરીએ આવેલી ગ્રામ્ય એસપી કચેરીની મુલાકાત લીધી હતી.અને રજૂઆત કરતા એસ. પી રોહન આનંદે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:18 am

કાર્યવાહી:ડો. મીરા ખાનાવાલા-પૂજા શાહને ચાઈલ્ડ વેલફેર કમિશનની નિવેદન આપવા નોટિસ

પ્રતાપનગર સ્થિત ન્યુ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકે કામ કરનારા ડો.મીરા ખાનાવાલા અને પુજા શાહ એ 4 વર્ષના બાળકને ખુણામાં પટકીને તેના પગ પર પગ મુકી ધમકાવ્યો હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાયા બાદ બંને મહિલાઓને ચાઈલ્ડ વેલફેર કમીશન દ્વારા નોટીસ પાઠવીને બુધવારે તેમના નિવેદન આપવા માટે બોલાવાઈ છે. આ પહેલા મકરપુરા પોલીસે બંને ફિઝીયોથેરાપીસ્ટને પોલીસ મથક પોતાના નિવેદનો આપવા માટે મંગળવારે બોલાવ્યાં હતાં. જ્યારે મંગળવારે મોડી રાત સુધી બંને ફિઝીયોથેરાપીસ્ટના નિવેદનો નોંધવાની પ્રક્રિયાઓ ચાલી હતી. જેમાં ડો.મીરા ખાનાવાલા અને પુજા શાહ કેટલા સમયથી ન્યુ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં કામ કરી રહી છે. બાળક ને ધમકાવવા અને ડરાવવા અંગે પણ પ્રશ્નો પુછાયા હતાં. મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરના એક વેપારીનો 4 વર્ષનો દિકરો ઓછું બોલતો હોવાથી તેને પ્રતાપનગર ખાતે આવેલા ન્યુ હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે મુકવામાં આવતા સેન્ટરના ડો.મીરા મેડમ દ્વારા વેપારીના દિકરાને ડરાવી-ધમકાવીને ખૂણામાં બેસાડી અને તેના પગ પર પગ મુકીને ધમકાવતા હોવાની જાણ વેપારી અને તેમની પત્નીને થઈ હતી. જેની પુષ્ટિ પણ સેન્ટરના સીસીટીવી ફુટેજમાં થતા મકરપુરા પોલીસ મથકમાં સેન્ટરના ડો.મીરા અને પુજા મેડમ સામે ધી જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:17 am

તપાસ:જીવનથી ત્રાસી 23 વર્ષીય યુવકે અંતિમ મેસેજનું વોલપેપર બનાવી ફાંસો ખાધો

સમા-ચાણક્યપૂરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય અગમ્ય કારણોસર યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કરીને તેને મોબાઈલનું વોલપેપર બનાવ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, આ પગલા પાછળ કોઈ જવાબદાર નથી. હું મારા જીવનથી કંટાળી ગયો છું. સમા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. સમા-ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી ડિફેન્સ કોલોનીમાં રહેતો અનિકેત રાવલ મંજુસર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ધૂળેટીના દિવસે તેને પગમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તેનો અંગુઠો ફૂલી ગયો હતો, જેના કારણે તેને કંપનીની સેફ્ટી સુઝ પહેરાતા ન હોવાને કારણે તે નોકરી જતો નહતો. તેના પિતા પ્રવિણભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. મંગળવારે સવારે પ્રવિણભાઈ નોકરીએ ગયા હતા અને બપોરે 2 વાગ્યાના અરસામાં જમવા માટે ઘરે આવ્યા હતા. ત્યારે તે રસોડામાં જમવા માટે જતા હતા ત્યારે અનિકેતના રૂમમાં તપાસ કરતા અનિકેતએ ગેસનની પાઈપ પર દોરી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેના પિતા તાત્કાલિક તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ સમા પોલિસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને અનિકેતના મોબાઈલના વોલપેપર પર તેનો અંતિમ મેસેજ મળી આવ્યો હતો. પોલીસે આ મેસેજના આધારે તપાસ હાથ ધરી હતી. પિતા કહે છે કે,ઘરમાં તેને કોઈ તકલીફ નહોતી, પણ તેણે આ પગલું કેમ ભર્યું તેની અમને જાણકારી નથી આ બાબતે અનિકેતન પિતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, ઘરમાં અનિકેતને કોઈપણ પ્રકારની તકલીફ હતી નહીં. અમે બધા શાંતિથી રહેતા હતા. તેમ છતાં અનિકેતે આ પ્રકારનું પગલું કેમ ભર્યું તેની અમને કોઈ જાણકારી નથી. તેણે જ્યારે આ પગલું ભર્યું ત્યારે હું નોકરી પર ગયો હતો અને તેની માતા પણ બહાર કામથી ગઈ હતી. તે કંપનીમાં નિયમિત રીતે નોકરીએ જતો ન હતોઅનિકેત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જોકે મહિનાના થોડા દિવસો જ નોકરી પર જતો હતો જેથી પગાર પણ ઓછો આવતો હતો કોઈ વખત 5,000 કે કોઈ વખત 8000 પગાર આવતો હતો. અનિકેત કંપનીમાં ફીટર તરીકે કામ કરતો પણ કંપની વાળા તેની પાસે લોડિંગ નું કામ કરાવતા હોવાને કારણે તે નોકરીએ જતો ન હતો. અંતિમ ચિઠ્ઠીમાં અનિકેતે લખ્યું,મમ્મી-પપ્પા માફ કરશોઆ પગલું હું મારી જાતે જ ભરુ છું. મારી કોઈની સાથે રૂપિયાની લેતી-દેતી નથી અને કોઈની સાથે દુશ્મનાવટ પણ નથી. મારા કોઈની સાથે સંબંધ નથી, જે સંબંધ છે તે પરીવાર સાથે છે. મમ્મી-પપ્પા મને માફ કરશો. હું જીવનથી કંટાળી ગયો છું જેથી હું આ પગલું ભરું છું તેવો ઉલ્લેખ મૃતકે અંતિમ ચિઠ્ઠીમાં કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:17 am

પોલીસની કામગીરી:10 વર્ષનું બાળક ટ્રેનમાં બિહારથી વડોદરા પહોંચ્યું, પોલીસે 5 સરપંચનો સંપર્ક કરી પિતાને પાછુ સોંપ્યું

બિહારથી 1574 કિમી દૂર ભૂલમાં એક 10 વર્ષનું બાળક ટ્રેન મારફતે વડોદરા શહેર આવી ગયું હતું. અઠવાડિયા અગાઉ બાળક તેના ગામેથી ગુમ થઈ ગયું હતું. જોકે વડોદરા જે.પી રોડ પોલીસને બાળક એકલુ ફરતું મળી આવતા પોલીસે તાત્કાલિક એક ટીમ કામે લગાવી 5 કલાક સતત મહેનત કર્યા બાદ બાળકના પિતાનો સંપર્ક કરી લીધો હતો. અક્ષરચોક નજીકથી જે.પી.રોડ પોલીસને રવિવારે સાંજે સાત વાગે એક 10 વર્ષનું બાળક એકલું આમથી તેમ ફરતું મળી આવ્યું હતું. પોલીસ તાત્કાલિક તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બાળક બિહારી ભાષામાં વાત કરતું હતું. તેના કપડા બગડી ગયા હતા. જેથી પોલીસે પહેલાં તેને નવી ટી-શર્ટ અને બેલ્ટ લઈ આપ્યો હતો. બાળકને જમવાનું આપ્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર સહિત એક આખી ટીમ બાળકના માતા-પિતાને શોધવા લાગી ગઈ હતી. પીઓપીનું કામ કરતા 5 બિહારીની મદદ લીધી હતી. તેમને બાળક સાથે વાત કરી તેના ગાનું નામ જાણ્યું હતું. બાળક ફક્ત દામોદરપુર જણાવતો હતો. જોકે બિહાર ખૂબ મોટું હોવાથી તેનો તાલુકો જાણવા મળતો નહોતો. ત્યારે એકબાદ એક મદદે આવેલા લોકોએ 20 ગામના સંપર્ક કર્યા હતા. આ સાથે જ 5 ગામના સરપંચ સાથે વાત કરી હતી. અંતે રાત્રે 12 વાગે એક સરપંચ સાથે વાત થયા બાદ તેમના ગામનો પરિવાર બાળક શોધી રહ્યો હોવાની જાણ થઈ હતી. પરિવાર બાળકની શોધમાં મુંબઈ પહોંચી ગયો હતો. ત્યારે સરપંચ મારફતે બાળકના પિતા સંપર્ક થયો હતો. પોતાનું બાળક મળી ગયું હોવાથી પિતા ખુશ થઈ ગયા હતા. પિતા જે.પી.રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે બાળકને તેના પિતાને સોંપ્યું હતું. બાળક અઠવાડિયા અગાઉ બિહારના ભોજપુર તાલુકાના દામોદરપુરથી વડોદરા આવી ગયું હતું. 5 કલાક મહેનત કરીને બાળકના માતા-પિતાને શોધ્યા એકલુ બાળક મળી આવતા અમારી ટીમે તાત્કાલિક તેના માતા-પિતાનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. બાળક બિહારી બોલતું હતું, જેથી દુભાષ્યાની મદદ લીધી હતી. સતત 5 કલાક જેટલી મહેનત કરીને બાળકના પિતાનો સંપર્ક થઈ ગયો હતો. પરિવાર વડોદરા આવ્યો હતો અને બાળકને તેમને સોંપવામાં આવ્યો છે. > એસ.એમ.સગર, પીઆઈ, જે.પી.રોડ પોલીસ સ્ટેશન બાળક બિહારી બોલતુ હોવાથી પીઓપીનું કામ કરતા 5 બિહારીને બોલાવી પોલીસે મદદ લીધી બાળક બિહારી બોલતુ હોવાથી પોલીસે વિસ્તારમાં પીઓપીનું કામ કરતા 5 બિહારીની મદદ લીધી હતી. બિહારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળક સાથે વાત કરી હતી. બાળક ફક્ત તેના ગામનું નામ કહેતું હતું, જેથી મદદે આવેલા 5 બિહારીએ તાત્કાલિક બિહાર સંપર્ક કરીને તાલુકો જાણી ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બાળકના પિતાનો સંપર્ક થઈ શક્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:16 am

માર્ગદર્શન:દીકરીને રાખવા ન માગતી માતા સહિત પરિવારજનોનું કાઉન્સેલિંગ

એસ.એસ.જી હોસ્પિટલ ખાતે નવજાત બાળકીનો જન્મ થયા બાદ માતાએ પોતાના પિયરમાં બાળકીને સાથે લઈ જવાની ના પાડી દેતા ડોક્ટરો ઉપરાંત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માતાની પૂછપરછ કરતા તેના પિયરના સભ્યો બાળકીને સ્વિકારવા તૈયાર ન હોવાનું જણાવતા સાંત્વના કેન્દ્ર હેઠળ માર્ગદર્શન આપી વાલીને બાળકીની સારસંભાળ રાખવા માટે રાવપુરા પોલીસની ટીમે મનાવી લીધી હતી. રાવપુરા પોલીસના જણાવ્યા અનુસાર, 31 માર્ચના રોજ એસ.એસ.જી હોસ્પિટલ ખાતેથી વર્ધી આવી હતી કે, એક મહિલા તેના નવજાત બાળકીનો કબજો સ્વિકારવાની ના કહે છે. જેના આધારે પીઆઈ એ.એ.વાઘેલા અને પોલીસની ટીમ એસ.એસ.જીના તાત્કાલીક વિભાગમાં પહોચીને પરિવારજનોને મળ્યાં હતાં. જેમાં માતા પારૂલબેન કમલેશભાઈ પઢીયાર પોતાના નવજાત શીશુને રાખવા માંગતા ન હતા, તેમના પતિ પણ હયાત ન હતાં. અને બાળકીના નાના-નાની પણ નવજાત બાળકીને સ્વિકારવા તૈયાર ન હતાં. જેથી બાળકીના પરિવારજનોને સાંત્વના કેન્દ્ર હેઠળ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ પરીવારજનોએ બાળકીને સાથે લઈ જવાની તૈયારી બતાવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:15 am

વિરોધ:સ્માર્ટ મીટર અને નવાં વીજ બિલ-2022નો વિરોધ,આખું સપ્તાહ સહી ઝુંબેશ ચલાવાશે

ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન વતી, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા ઇલેકટ્રીસિટી કન્ઝયુમર્સ એસોસિએશન્સ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા સહી ઝુંબેશ અને વિરોધ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત શહેરના ન્યાયમંદિર પાસે પદ્માવતી ઇમારત સંકુલ પાસે સહી ઝુંબેશ યોજાઈ હતી. સહી ઝુંબેશ દરમિયાન લાઉડ સ્પીકર દ્વારા જાગૃતિ લવાઈ હતી અને સ્માર્ટ મીટરના વિરોધ અંગેના મુદા એક પોસ્ટર પર દર્શાવાયા હતા અને કેટલીક માંગણીઓ પણ કરાઈ હતી. આ માંગણીઓમાં પ્રીપેડ સ્માર્ટ મીટર સિસ્ટમ પાછી ખેંચી લેવી અને જ્યાં નવું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યું હોય ત્યાં જૂની મીટર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી, નવું વીજળી બિલ 2022 રદ કરો, વીજળીનું ખાનગીકરણ-વ્યાપારીકરણ બંધ કરો, સ્ટોપ ટાઈમ ઓફ ડે ટેરિફ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા રૂા.3900 કરોડ અદાણી પાવર પાસેથી લેવાના નીકળે છે તે તાત્કાલિક ધોરણે વસૂલ કરવામાં આવે. ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન વતી વડોદરા યુનિટના સચિવ ઇન્દ્રજીતસિંહ ગ્રોવરે જણાવ્યું હતું કે, સરકાર વિવિધ યોજના તથા સુધારણાના નામે ખાનગી કંપનીઓને નફો કરાવવા નવા નવા નિયમો લાવી રહી છે. તમે જાણો છો કે કેન્દ્ર સરકાર વીજળી (સુધારા) બિલ-2022ને આગળ ધપાવી રહી છે અને લોકોના વિવિધ સંગઠનો - ખાસ કરીને ખેડૂતો અને કર્મચારીઓના ઉગ્ર વિરોધ છતાં - તેને કાયદો બનાવવા માંગે છે. જો તે પસાર થશે તો વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ-વેપારીકરણ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:14 am

બેઠક:MSUમાં હંગામી 800 અધ્યાપકની ભરતી કરાશે, અનામત બેઠકો રાખવાની વિચારણા

મ.સ. યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં અધ્યાપકોની ભરતી માટે વર્કલોડ કમીટીની બેઠક મળી હતી. યુનિવર્સિટીમાં 800 જેટલા હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવશે. પહેલીવાર હંગામી અધ્યાપકો માટે અનામત બેઠકો રાખવાની વિચારણા કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષ માટે ભરતી પ્રક્રિયાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભ હેડ ઓફીસ ખાતે વર્કલોડ કમીટીની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં વિવિધ ફેકલ્ટીઓ પાસેથી કેટલા અધ્યાપકોની જરૂરીયાત છે તેના ડેટા મંગાવામાં આવ્યા હતા. જેના આધારે યુનિવર્સિટીમાં 800 જેટલા હંગામી અધ્યાપકોની ભરતી કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. પૂર્વ વીસી દ્વારા 4 વર્ષ માટે ભરતી કરવામાં આવતા હંગામી અધ્યાપકોની જે પ્રક્રિયા પર રોક લગાવી હતી તેને ફરીથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 7 એપ્રીલથી હંગામી અધ્યાપકોની ભરતી માટેની અરજી મંગાવાનું શરૂ કરવામાં આવશે. મે મહિનામાં યુનિવર્સિટી ખાતે હંગામી અધ્યાપકોના ઇન્ટરવ્યુ યોજવામાં આવશે. 16 જૂન સુધીમાં હંગામી અધ્યાપકોને ઓર્ડર આપી દેવામાં આવશે. ચાલુ વર્ષે પ્રથમ વાર હંગામી અધ્યાપકોની ભરતીમાં પણ અનામતના નિયમોનું પાલન કરવામાં આવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:14 am

ઉમેદવારોનું રજિસ્ટ્રેશન:માર્ચમાં 10 તાલુકામાં 738 ઉમેદવારોની અનુબંધમ અને NCS પોર્ટલ પર નોંધણી

વડોદરા રોજગાર કચેરી દ્વારા 18 થી 28 માર્ચ દરમિયાન આરએમએસ પોલીટેકનીક, સરકારી આઈટીઆઈ, દશરથ, સાવલી,ડભોઈ,કરજણ, શિનોર, પાદરા, કાયાવરોહણ,મહુવડ, ડો.ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ,અકોટા,બટલર પોલીટેકનીક કોલેજ, નિઝામપુરા, કેપીજીયુ યુનિવર્સિટી ,વરણામા ખાતે યોજાયેલ કુલ 10 તાલુકા કેમ્પમાં 738 વિધાર્થી/ઉમેદવારોના અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર નામ નોંધણી કરાઇ છે. વડોદરા રોજગાર કચેરી દ્વારા વર્ષ 2023 માં 4174 અને વર્ષ 2024 માં 8254 વિધાર્થી /ઉમેદવારની કોલેજ, આઈટીઆઈ અને સ્કુલ તાલીમ કેન્દ્રો ખાતેના જિલ્લા,તાલુકા કેમ્પ દ્વારા નામ નોંધણી કરાઈ હતી. ઉમેદવારોને કેવી રીતે ઓનલાઈન જોબ શોધવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું.નોંધણી કેમ્પમાં રોજગાર કચેરીના અધિકારી, કર્મચારી અને કરીયર કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરી ખાતેની કરીયર કાઉન્સેલિંગ અને વ્યવસાય માર્ગદર્શનની સેવાઓ અને આગામી અગ્નિવીર (આર્મી), નેવી એરફોર્સની યોજનાર ભરતી અંગે તેની તૈયારી માટેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ મેળવવા અને પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ કરવા-વિદેશમાં રોજગાર કે અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. ધો 10- 12 ના પરિણામ આવ્યા બાદ રોજગાર કચેરી તમામ સેવાઓ કાઉન્સેલીંગ,ગાઈડન્સ અને રોજગાર ભરતી મેળાની ,નિવાસી તાલીમ ,વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે ફ્રી માર્ગદર્શન લેવા માટે વધુમાં વધુ વિધાર્થીઓને અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન નામ નોંધણી કરાવવા ,રોજગાર કચેરીની મુલાકાત લેવા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:13 am

વાર્ષિક પરીક્ષા:શહેરની 400 જેટલી શાળામાં 7મીથી વાર્ષિક પરીક્ષા શરૂ થશે,3 લાખથી વધુ વિદ્યાર્થી જોડાશે

ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે. શહેરની 400 જેટલી સ્કૂલોમાં 3 લાખ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપશે. વાર્ષિક પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન શરૂ થશે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 7 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી લેવામાં આવશે, જ્યારે ધોરણ 6 થી 8ની પરીક્ષા 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી લેવામાં આવશે. 2024-25નું શૈક્ષણિક વર્ષ પૂરું થવાના આરે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત સ્કૂલોમાં પરીક્ષાઓના માહોલ જામશે. શહેરની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ 400 જેટલી સ્કૂલોમાં પરીક્ષાઓ યોજવામાં આવશે. સરકારી સ્કૂલો તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલાં પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા લેવામાં આવશે. જ્યારે નોન-ગ્રાન્ટેડ સ્કૂલોને પ્રશ્નપત્રો પોતાના સ્તરે કાઢવા માટેની છૂટ આપવામાં આવી છે. જો નોન-ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા સરકાર દ્વારા આપનાર પ્રશ્નપત્રો જોઇતા હશે તો નિશ્ચિત રકમ ચૂકવીને મેળવી શકશે. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 7 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. ધોરણ 6 થી 8ની પરીક્ષા 16 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન શરૂ થશે. જ્યારે શિક્ષકો માટે 35 દિવસનું વેકેશન 5 મેથી 8 જૂન સુધી રહેશે. 9 જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે. ધોરણ 1 અને 2માં વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. સ્ટેટ બોર્ડની સ્કૂલોમાં પરીક્ષા શરૂ થશે, જ્યારે 6 એપ્રિલથી સીબીએસઇ શાળામાં નવું સત્ર શરૂ થશેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત સ્કૂલોમાં આગામી 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓનો આરંભ થશે. બીજી તરફ સીબીએસઇ બોર્ડની સ્કૂલોમાં આગામી 6 એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જેમાં એક મહિના સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલશે. ત્યારબાદ મેમાં એક મહિનાનું ઉનાળુ વેકેશન શરૂ થશે અને જૂન મહિનામાં ફરીથી સત્ર શરૂ થશે. જિલ્લાની 1025 સરકારી શાળામાં પણ પરીક્ષાનો માહોલ જામશે, 2 લાખથી વધુ છાત્રો પરીક્ષા આપશેવડોદરા જિલ્લાની 1025 સરકારી શાળાઓમાં પણ પરીક્ષાનો માહોલ જામશે. જિલ્લાની સરકારી શાળાઓમાં 2 લાખ કરતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે શહેરની 120 જેટલી સરકારી શાળાઓમાં 36 હજાર વિદ્યાર્થીઓ પણ વાર્ષિક પરીક્ષા આપશે. 7 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. તે પછી શાળાઓમાં વેકેશનનો પ્રારંભ થશે.

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:12 am

રાહત:ડ્રાઇવિંગ લાઇસન્સમાં હવે ઘેર બેઠાં જન્મતારીખ સુધરી શકશે

હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં જન્મતારીખમાં ઓનલાઇન માધ્યમથી સુધારો કરી શકાશે. રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ 4 અંતર્ગત આ સુવિધા શરૂ કરાઈ છે. જેથી અરજદાર ઘરે બેઠાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં સુધારો કરી શકશે. સુધારા માટે ઘેર બેઠાં રૂા.200 ફી ચૂકવી લાઇસન્સ મેળવી શકાશે. નોંધનીય છે કે, અત્યાર સુધી અરજદારોએ લાઇસન્સમાં જન્મ તારીખમાં ભૂલ હોય તો આરટીઓ કચેરી ખાતે રૂબરૂ જવું પડતું હતું. હવે ઓનલાઇન સુવિધા શરૂ થવાથી અરજદારોને સરળતા રહેશે. 14 સ્ટેપમાં સુધારો થશે 1. પરિવહન વેબ સાઇટ ઓપન કરો 2. ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરો 3. લાઇસન્સ રિલેટેડ સર્વિસ પર જાઓ 4. રાજ્યની પસંદગી કરો 5. લાઇસન્સ સર્વિસ પર ક્લિક કરો 6. ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા લખો 7. ફેસલેસ સર્વિસ માટે આધાર નંબર દાખલ કરો 8. ચેન્જ ઓફ ડેટ ઓફ બર્થ ઇન ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરો 9. ડોક્યૂમેન્ટ અપલોડ કરો 10. ફોટો અને સિગ્નેચર અપલોડ કરો 11. 200 રૂપિયાનું પેમેન્ટ કરો 12. સ્ક્રૂટિની 13. એપ્રુવ બાય આરટીઓ 14. પ્રિન્ટ એન્ડ ડિસ્પેચ લાઇસન્સ

દિવ્ય ભાસ્કર 2 Apr 2025 6:11 am