જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે કલેક્ટર દ્વારા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્કફોર્સ દ્વારા ગેરકાયદે ખનિજ પ્રવૃતી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઇ 27 તારીખે વહેલી સવારે બાતમીના આધારે ભુજ તાલુકાના રેલડી મોટી ગામમાં તપાસ કરવામાં આવી હતી. ગામમાં લાગુ સરકારી ખરાબામાં તપાસ કરાઈ ત્યારે સ્થળ પર એક જેસીબી મશીન દ્વારા હાર્ડમોરમ ખનિજનું ખનન કરવામાં આવતું હતું. ડમ્પર નં.GJ-12-AW-7454માં આશરે 20 મે.ટન ખનિજ ભરેલું હતું.ખનીજનું ગેરકાયદે વહન કરવામાં આવતું હોવાથી વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. કુલ પચાસ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તથા આ વાહનોને સીઝ કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે. તેમજ આગળની નિયમોનુસારની કાર્યવાહી ચાલુમાં હોવાનુ ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મુન્દ્રા અદાણી પબ્લિક સ્કૂલ ખાતે ખ્યાતનામ લેખિકા, અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ ખાસ મુલાકાત લીધી હતી. છાત્રોને પ્રેરક સંબોધનમાં તેમણે જીવન ઘડતર માટેની અમૂલ્ય સલાહ આપી હતી. વિદ્યાર્થીઓના બેગપાઇપર બેન્ડ, NCC નેવી અને આર્મી કેડેટ્સ દ્વારા મૂર્તિનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને અમી શાહ (ડિરેક્ટર, APSM), સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય, સામાજિક ઉત્થાન અને શિક્ષણક્ષેત્રે આગવી છાપ ધરાવતા સુધા મૂર્તિએ શાળા કેમ્પસમાં પુસ્તકોના પ્રદર્શનને નિહાળ્યો હતો, જેમાં તેમના પ્રખ્યાત શીર્ષકોને સમર્પિત એક ખાસ સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું. તેમના 50મા પુસ્તક, ધ મેજિક ઓફ ધ લોસ્ટ ઇયરિંગ્સની નકલો પર હસ્તાક્ષર કરી તે શાળાને ભેટ આપ્યા હતા. આ મુલાકાતમાં તેમણે ભૂલકાઓને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં સુધા મૂર્તિએ વ્યક્તિગત વાર્તાઓ અને વાર્તાઓ દ્વારા જીવનનો સાર શેર કરતા છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે છાત્રોને માતાપિતા અને શિક્ષકોને આદર આપવાની સાથે તેમની સલાહનું પાલન કરવાની સલાહ આપી, શિક્ષણ ફક્ત પરીક્ષામાં ગુણાંક માટે જ નહીં પરંતુ જ્ઞાનવર્ધન અને કુશળતા માટે પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરવાનો તેમણે આગ્રહ કર્યો હતો. મૂર્તિની આ મુલાકાતે છાત્રો પર ઊંડી છાપ છોડી, તેમણે બાળકોને શિક્ષણવિદોનું મૂલ્ય સમજવા તેમજ કૃતજ્ઞતા અને દૃઢ નિશ્ચય સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરિત કર્યા હતા. આધુનિક સમયમાં ટીનએજર્સને જ્યારે સ્માર્ટફોનના રવાડે ચઢી જતા હોય છે ત્યારે મૂર્તિએ તેમને ફોનનો ઉપયોગ મર્યાદિત કરવા અને સર્જનાત્મક વિચારો પોષવા શ્રેષ્ઠ પુસ્તક વાંચનને પ્રાથમિકતા આપવાનો ખાસ અનુરોધ કર્યો હતો. છાત્રોની જીજ્ઞાસાઓ સંતોષવા પ્રશ્નોત્તરી રાઉનન્ડમાં નિખાલસતાથી જવાબ આપ્યો હતો. બાળકોને નિડરતા, ધીરજથી પડકારોનો સામનો કરવાની તેમણે સલાહ આપી હતી. તેમણે મ્યુઝિક રૂમ અને ATL લેબની મુલાકાત પણ લીધી હતી. કચ્છ વિશ્વનું એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્ક, જે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, એટલે કે પેરિસ શહેર કરતાં પણ પાંચ ગણો મોટો વિસ્તાર. આ પાર્કની અંતિમ ક્ષમતા 30 ગીગાવૉટ રહેશે, જેનાથી દર વર્ષે 50 મિલિયનથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી મળી શકશે અને 58 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટશે. હાલમાં જ 2 ગીગાવૉટ ક્ષમતા ગ્રીડ સાથે જોડાઈ ચૂકી છે અને 2030 સુધીમાં આખું પાર્ક પૂર્ણ કાર્યરત થઈ જશે. આ અદ્ભુત દૃશ્ય જોઈને સુધા મૂર્તિએ અદાણી ગ્રીન એનર્જીની ટીમને અભિનંદન આપતાં કહ્યું કે આ પાર્ક જોઈને મને લાગે છે કે ભારતનું ભવિષ્ય અહીંયા ચમકી રહ્યું છે. રણની આ રેતી પર જે સ્વચ્છ ઊર્જાનો મહાસાગર ઊભો થઈ રહ્યો છે, એ ભારતના ટકાઉ વિકાસની સાથે સાથે વિશ્વ માટે પણ એક મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છ આજે માત્ર ભારતનું નહીં, પરંતુ વિશ્વનું એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે. મુન્દ્રા બંદર ભારતની આર્થિક તાકાતનું જીવંત પ્રતીક છેસુધા મૂર્તિએ કચ્છમાં આવેલા અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ; વિશ્વનું સૌથી મોટું ખાનગી બંદર અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ, મુંદ્રા અને વિશ્વનો સૌથી વિશાળ રિન્યૂએબલ એનર્જી પાર્ક, ખાવડાની મુલાકાત લીધી હતી. અદ્યતન ઓટોમેટેડ કન્ટેનર ટર્મિનલ, ડીપ ડ્રાફ્ટ બર્થ, રેલ્વે કનેક્ટિવિટી અને ડિજિટલાઈઝ્ડ લોજિસ્ટિક્સ સિસ્ટમ જોઈને સુધા મૂર્તિ અભિભૂત થયા હતા.
આનંદો:વાગડ વિસ્તારના ખેડૂતોને હવે દિવાસ્વપ્ન રૂપ કેનાલ મળશે
રાપર તાલુકામાં રૂ.32.28 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. તા.પં. કચેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું કે આ વિસ્તારના 44 ગામોની અમે ક્યારેક રજુઆત કરતા તોય સંબંધિત નેતાઓ કહેતા કે તમે નર્મદા કેનાલ આજુબાજુ જમીનો લઈ લ્યો તમારી બાજુ તો પાણી નહીં આવે પણ અત્યારના ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં દિવાસ્વપ્ન રૂપ કેનાલ મળશે. પહેલા 3-4 મહિને પાલિકામાં પાણીની કાગારોળ મચતી, ધારાસભ્ય આવ્યા બાદ ક્યારેય કેનાલ બંધ રહી નથી. શહેરમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. તા.પં. ટીમ દ્વારા દરેક ગામના વિકાસ કામો વિરેન્દ્રસિંહની સૂચના અને તેમના ધ્યાન નીચે દરેક સરપંચોને સાથે રાખી મંજૂર થાય છે. 8 કરોડ ઉપરની ગ્રાન્ટ પહેલીવાર તા.પં. હસ્તક મળી. પહેલા સામાન્ય રીતે માત્ર બે કરોડની ગ્રાન્ટ જ મળતી. ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરીએ કહ્યું કે વિરેન્દ્રસિંહ જાડેજાના કારણે વાગડમાં આવા ઐતિહાસિક કામો થઈ રહ્યા છે. સંચાલન સંભાળતા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે 3 વર્ષની અંદર સાડા પાંચ હજાર કરોડના કામો સમગ્ર જિલ્લામાં રાપર તાલુકામાં સૌથી વધારે મંજૂર થયા છે. અતિથિ વિશેષ જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજાએ કહ્યું કે 20-25 વર્ષ પહેલાના સરપંચોને માંડ 1 લાખ જેટલી રકમ મળતી જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા મળી રહ્યા છે. તા.પં. ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 8.72 કરોડના વર્ક ઓર્ડર વિવિધ સરપંચને અપાયા હતા. સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. જેમાં સંવિધાનનું વાંચન/પૂજન કરાયું હતું. બપોરે ફતેહગઢમાં કુમાર પ્રા.શાળામાં 1.60 કરોડના ખર્ચે શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ફતેહગઢ કુમાર શાળા, પ્રા. શાળા, નારણપર પ્રા.શાળા, ખેગારપર પ્રા. શાળા, કારૂવાંઢ પ્રા. શાળા, વણોઈ પ્રા.શાળા, રવેચીનગર વાડી પ્રા.શાળા, લાલાસરી પ્રા.શાળાના કુલ 5.69 કરોડના 40 રૂમો તેમજ શાળાઓનું લોકાર્પણ કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગના ત્રંબો જેસડા સુવઈ રવેચી રોડ 10.30 કિમી 9.20 કરોડ, મોવાણા ફતેગઢથી પીઠળ માતાજી મંદિર રોડ 2.20 કિમી 1.32 કરોડ, વ્રજવાણી કુભારપર રોડ 2.50 કિમી 2.25 કરોડ, હકુવાંટ એપ્રોચ રોડ 3 કિમી 1.35 કરોડ, પ્રાગપર પાબુસરી રોડ 1 કિમી 0.45 કરોડ, સેલારી નર્મદા કેનાલથી ગૈડાવાંઢ રોડ 3 કિમી 1.80 કરોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે યોજાયું હતું. જેમાં જિ.પં. સદસ્ય રાજુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દેયા, પાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, તા. પં. પ્રમુખ પ્રતિનિધિ કૌશિક બગડા, ટીડીઓ કે.એમ. વાઘેલા, વણવીર રાજપૂત, ભચુભાઈ વેદ, ગજુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ડોલરરાય ગોર, કમલસિંહ સોઢા, વિનુભાઈ થાનકી, વાડીલાલ સાવલા, અકબર રાઉમા, કેશુભા વાઘેલા, મઘાભાઈ કાંદરી, ભાવેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોની આક્ષેપો સાથે કલેક્ટરને રાવ:‘ઉકીરમાં પવનચક્કીની કંપની દ્વારા ગૌચરમાં દબાણ કરાયું’
અબડાસા તાલુકાના ઉકીર ગામમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કીના વીજ પોલ માટે ગૌચર જમીનમાં દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય પગલા લેવાની માગ કરી હતી. આ અંગે પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગામમાં ગૌચર સર્વે નં. 109/1માં દબાણ કરીને પવનચક્કીનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ દરકાર લેવામાં આવી નથી અને કામ ચાલુ રાખવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ પણ કંપની સાથે મળીને ધાક ધમકી કરે છે તેવા આક્ષેપ કરાયા હતા. જકરિયા લુહાર, દેવાભાઇ રબારી, ભુરા નથુ રબારી, સચિન જોશી, અબ્દુલા લુહાર સહિતના 50થી વધુ ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરાઇ હતી.
BLOનું કરાયું સન્માન:લખપત તાલુકામાં 22 બીએલઓનું SIRની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
મતદાન યાદી સુધારણાની કામગીરી અંતર્ગત બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે જે અંતર્ગત લખપત તાલુકામાં 62 પૈકી 22 જેટલા બી.એલ.ઓનું શ્રેષ્ઠ કામ બદલ તાલુકા મામલતદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું 22 જેટલા બી.એલ.ઓ દ્વારા સમય મર્યાદા પહેલા કામગીરી પૂર્ણ કરાતા તાલુકા મામલતદાર કચેરીમા યોજાયેલા કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. મામલતદાર નવીનચંદ્ર મારૂએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે વિસ્તારની દ્રષ્ટિએ મોટા લખપત તાલુકામાં ગામડાઓ વચ્ચે અંતર વધુ છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી માહિતી મેળવવી પણ મુશ્કેલ બનતી હોય છે તેમ છતાં પણ આ વિસ્તારમાં બીએલઓ દ્વારા સમય મર્યાદા કરતા પણ વહેલી સરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમના હસ્તે 22 બીએલઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર રામજી બકુલિયા, દક્ષાબેન બુબડીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલ સહિત સરની કામગીરી પૂર્ણ કરનાર બીએલઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશાલડીના બીએલઓએ સર ની કામગીરી સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવા બદલ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા તેમનું ગાંધીનગર ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આટલા ગામોમાં કામગીરી પૂર્ણ થઇતાલુકાના મુંધવાય, મોટી અને નાની છેર, શિણાપર, પુનરાજપર, ગુનેરી, સાંયરા,અટડા, ધારેશી, લાખાપર, માણકાવાંઢ, સમેજાવાંઢ, ઓડીવાંઢ, મીંઢીયારી, ખાણોટ,પાનધ્રો- 3, બુદ્ધા, કનોજ,ગુહર મોટી, ગુનાઉં, જુલરાઈ, આશાલડી વિ. મત વિસ્તારમા બીએલઓ દ્વારા મતદારી યાદી સુધારણાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મંદિરમાં ચોરી:બિદડામાં મહાદેવ મંદિરનું તાળું તોડી 88 હજારના દાગીનાની ચોરી
માંડવી તાલુકાના બિદડા ગામમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને નિજ મંદિરનું તાળું તોડી શિવલીંગ પર રાખેલ રૂપિયા 88 હજારની કિંમતના દાગીના ચોરી કરી લઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મંદિરના પુજારી જીતેન્દ્રગીરી પ્રેમગીરી ગોસ્વામીએ કોડાય પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ બુધવારે સાંજે સાત વાગ્યે મંદિરમાં પૂજા કરી નિજ મંદિરને તાળું લગાવી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. જે બાદ ગુરુવારે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ગામમાં રહેતા નારણભાઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મંદિરનો તાળો તૂટેલો હોવાનું જણાવ્યું હતું. જેથી મંદિરે જઈને તપાસ કરતા નિજ મંદિરમાં શિવલીંગ પર રાખેલ રૂપિયા 25 હજારની કિંમતનો પંચધાતુનો શેષનાગ,૩ હજારની કિંમતનો જલધાર લોટો અને રૂપિયા 60 હજારની કિંમતની ચાંદીની જલધારી ચોર ઇસમ ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે કોડાય પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સી.વાય.બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દબાણ કરાયા દૂર:સામખિયાળીમાં બિનઅધિકૃત રીતે ખડકાયેલી 200 કેબીનો ઉપર તંત્રનુું બુલડોઝર ફરી વળ્યું
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં નવા અને જુના બસ સ્ટેશન પાસે બિનઅધિકૃત રીતે આડેધડ ખડકાયેલી 200 જેટલી કેબીનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જોકે, મોટાભાગના ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. દબાણ બાબતે સ્થાનિક રહીશ શિવમ હસમુખ મહારાજ દ્વારા રજૂઆત કરાતા ભચાઉ તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ગંભીરતા દાખવીને કડક હાથે કામ કરવા સૂચન આપતા ગ્રામ પંચાયતે બે જેસીબી મશીન દ્વારા જુના બસ સ્ટેશન નજીક ઉભી કરાયેલી ગેરકાયદે કેબીનો દૂર કરી હતી. મોટા ભાગે દબાણકારોએ સ્વેચ્છાએ કેબીનો ઉપાડી લીધી હતી. કેબીનો રાખવા માટે ઓટલા બનાવેલા હતા તે તમામ મલબો ઉપાડવા માટે બે જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા . કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બાબતે સરપંચ જગદીશ મઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાના ધંધાર્થીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા દુકાનો બનાવી આપવાનું વિચારાશે. બીજી બાજુ પાંચ કેબીન ધારકોએ હાઇકોર્ટમાંથી કામ ચલાઉ મનાઇ હુકમ મેળવ્યો હતો.
SIR:શનિ-રવિવારે ગણતરી ફોર્મ જમા કરાવવાનો મેગા કેમ્પ
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારમાં તા.1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે. જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ ખાસ કેમ્પના સ્થળ પર તા.29 શનિવારના બપોરે 12 કલાકથી સાંજે 5 કલાક સુધી અને તા.30-11 રવિવારના સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ગણતરી ફોર્મ ભરીને કેમ્પ ખાતે જમા કરાવી શકાશે. જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા /દાદા કે દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ના હોય તો શોધી આપવામાં આવશે. અબડાસા વિધાનસભા માટે મામલતદાર કચેરી નલીયા, નખત્રાણા, લખપત, માંડવી વિધાનસભા માટે માંડવી અને મુંદ્રા મામલતદાર કચેરી, ભુજમાં મામલતદાર કચેરી ભુજ (શહેર) ,ભુજ (ગ્રામ્ય) અંજારમાં મામલતદાર કચેરી, ગાંધીધામ માટે સી. જી. ગીધવાણી હોલ, ગાયત્રીકૃપા પ્રાથમિક શાળા ગળપાદર, રાપર માટે મામલતદાર કચેરી ભચાઉ, રાપર અને નગરપાલિકા ભચાઉ ખાતે કેમ્પ યોજાશે. કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા અને કેમ્પ ખાતે જમા કરાવવા અપીલ કરાઈ છે.
દ્વારકા જેવા દ્રશ્યો સર્જાયા:ધાણેટીમાં ‘સોમનાથ’ જેવું શિવ મંદિર અને ‘દ્વારકા’ જેવો મહારાસ
ભુજ તાલુકાના ધાણેટી ગામે અંદાજીત 7 કરોડના ખર્ચે સોમનાથ મંદિરની થીમ પર પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.ગત 24 થી 26 નવેમ્બરના ત્રિ-દિવસીય જીર્નોધ્વાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના છેલ્લા દિવસે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દ્વારકાના મહારાસની ઝાંખી કરાવતા ભવ્ય વ્રજરાસનું આયોજન થયું હતું.જેમાં કચ્છ સહિત કાઠિયાવાડના આહીર સમાજની માતાઓ,બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અને ફરતે પરંપરાગત પહેરવેશમાં રાસ રમતી મહિલાઓએ ધાણેટીમાં દ્વારકા જેવા દ્રશ્યો સર્જ્યા હતા. વ્રજરાસના મુખ્ય કલાકારોમાં દિવાળીબેન આહિર, સભીબેન આહિર, મેક્સ આહિર, રાજેશ આહિર, ભૂમિકાબેન આહિર અને ક્રિષ્નાબેન આહિર રહ્યા હતા
આધેડે જીવન ટૂંકાવ્યું:ભુજોડીમાં 55 વર્ષીય આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો
તાલુકાના ભુજોડી ગામમાં રહેતા 55 વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ભુજોડીમાં રહેતા 55 વર્ષીય મોતીલાલ નારણભાઈ સીજુએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ ગુરુવારે સવારે છ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગીએ પોતાના ઘરે કોઈ કારણોસર ફાંસો ખાઈ લીધો હતો.બનાવ બાદ હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે માધાપર પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
કચ્છ યુનિ.નો વધુ એક છબરડો:એમ.એ. સેમ.1ની પરીક્ષામાં 2022ના બેઠા પેપર પૂછી લીધા !
કચ્છ યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય હોય તેમ અવારનવાર છબરડા સામે આવતા હોય છે.એક તરફ યુનિવર્સિટીને બી ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અવારનવાર કચ્છ યુનિવર્સિટીને વિશ્વ કક્ષાએ લઈ જવાના દાવા સત્તાધિશો દ્વારા કરવામાં આવે છે. પરંતુ પાયો નબળો હોય તેમ પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં ગફલત યથાવત રહી છે.દિવાળી પૂર્વે લેવાયેલી યુનિવર્સિટીની પરીક્ષાના પ્રથમ તબક્કામાં બીબીએ અને એમબીએમાં એક સમાન પ્રશ્નપત્ર પૂછાયા હતા. હાલમાં જ્યારે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષામાં બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે 2022 ની પરીક્ષાના એક સમાન પ્રશ્નપત્ર પૂછી લેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે અબજો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને અહીં અભ્યાસના નામે માત્ર લાલિયાવાડી ચલાવાતી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ કચ્છ યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા તા.25-11 થી શરૂ થઈ છે જેમાં તારીખ 25 ના એમએ અર્થશાસ્ત્ર સેમેસ્ટર-1નું પેપર CCEC 101 એકમલક્ષી-1 અર્થશાસ્ત્રનું પેપર અને તા.26ના અર્થશાસ્ત્ર એમ.એ સેમેસ્ટર - 1નું પેપર CCEC 102 સમગ્રલક્ષી-2 નું પેપર વર્ષ 2022 ના બેઠા કોપી પૂછવામાં આવ્યા છે. આ બંને પેપર સેટ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે, ખાસ ચેરમેનની પણ જવાબદારી હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો પરીક્ષા વિભાગ તથા અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા હોય તો તેમના પર કાર્યવાહી કરવામાં આવે.વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ જવાબદારો હાજર ન હોવાથી રામધૂન બોલાવી હતી. વિરોધ અને આંદોલન વચ્ચે પરીક્ષા નિયામક દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને લેખિતમાં કાર્યવાહી થશે તેવો જવાબ આપવામાં આવ્યો છે.રજૂઆત દરમિયાન અભાવિપ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, કચ્છ યુનિવર્સિટી અધ્યક્ષ મિત દરજી, ભુજ નગર મંત્રી ભરત ગઢવી સહિતના સૌ વિધાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા. બીબીએ-એમબીએ વિવાદમાં ઠંડું પાણી રેડી દેવાયુંયુનિવર્સિટીની બેદરકારીના કારણે દિવાળી પૂર્વે લેવાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓને સરખા પૅપર આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ ફેર પરીક્ષાનું કહેતા વિદ્યાર્થીઓએ આંદોલન કરતા ફેર પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી અને બેદરકારી બાબતે કમિટી બનાવાઈ હતી.તે સમયે કડક કાર્યવાહીના દાવા કરવામાં આવ્યા પણ મહિના પછી કોઈ કાર્યવાહી થઈ નથી જે એક હકીકત છે.વિદ્યાર્થીઓએ આ મુદ્દે પણ રજુઆત કરતા તપાસ સમિતિનો રિપોર્ટ તાત્કાલીક રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. વિદ્યાર્થીઓએ રજુઆત કરી તો જવાબદારોએ ફરી એકવાર કાર્યવાહીની ખાતરી આપી, આ સિલસિલો ક્યારે અટકશે ? પરીક્ષાના પરિણામો 45 દિવસથી જાહેર કરાયા નથીવિદ્યાર્થીઓએ જણાવ્યું કે, દિવાળી પૂર્વે લેવાયેલી પરીક્ષાના 45 દિવસથી વધુ દિવસ વીતી ગયા છતાં પરિણામો આપવામાં આવ્યા નથી.પરીક્ષા નિયામકે બાકી રહેતા પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. શુધ્ધિ સમિતિની બેઠક મળશેયુનિવર્સિટીએ સ્વીકાર્યું છે કે, એમએ અર્થશાસ્ત્ર વિષય સેમ. 1માં પ્રશ્નપત્રો વર્ષ 2022ના કોપી છે. આ બાબતે પેપર સેટર, ચેરમેન, કર્મચારીઓની બાબતને પરીક્ષાશુધ્ધિ સમિતિમાં મૂકવામાં આવશે સમિતિના આદેશ મુજબ કાર્યવાહી થશે.5 ડિસેમ્બરના આ સમિતિની બેઠક બોલાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવી પ્રવેશ માર્ગદર્શિકા માટે સમિતિની રચના કરવામાં આવી છે. યુનિ. વધુ વિદેશી વિદ્યાર્થીઓને કેવી રીતે આકર્ષિત કરી શકે તેના માટે પ્રયાસ કરશે. સમિતિમાં યુનિવર્સિટીના પ્રોફેસરો અને ડીનનો સમાવેશ કરાયો છે. આ સમિતિ યુજી, પીજી અને પીએચડી કાર્યક્રમોમાં વિદેશી દેશોના વિદ્યાર્થીઓ માટે નવી પ્રવેશ માર્ગદર્શિકા તૈયાર કરશે. આ પગલું યુનિવર્સિટીને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા અને પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. ભાસ્કર નોલેજ
મિતેશ બ્રહ્મભટ્ટ/અમદાવાદ | અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક 65 વર્ષના સીનિયર સિટીઝન 9 દિવસ સુધી સાઇબર ઠગોના ડિજિટલ એરેસ્ટમાં ફસાઇ રહ્યાં. ઠગોએ પોતાને મુંબઈ પોલીસ અને ઈડી અધિકારી દર્શાવી તેમની પર મની લૉન્ડરિંગ કેસના નામે ડરાવી અને વેરિફિકેશનના નામે રૂ. 45 લાખ માગ્યા. વૃદ્ધે ઠગોના કહેવા પર બે દિવસ પહેલાં પોતાની રૂ. 45 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) તોડી નાંખી હતા. ગુરુવારે તેઓ આ રકમ ઓડિશાની આઈસીઆઈસીઆઈ બેન્કની બ્રાન્ચમાં આરટીજીએસ દ્વારા મોકલવા બેન્ક પહોંચ્યા, પરંતુ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સેટેલાઇટ બ્રાન્ચ મેનેજરે સમય રહેતા શંકા કરી ટ્રાન્ઝેકેશન રોકી દીધું. બેન્ક મેનેજર અને વૃદ્ધની વચ્ચે વાતચીતમેનેજરે કહ્યું- તમે એફડી કેમ તોડી રહ્યાં છો?વૃદ્ધે કહ્યું- મારે 3 બીએચકે ફ્લેટ લેવો છે. બ્રાન્ચ મેનેજર જયેશભાઈ ગાંધી જણાવે છે કે બે દિવસ પહેલાં ગ્રાહક પોતાની ફિક્સ ડિપોઝીટ તોડીને નાણા મેળવવા માટે આવ્યાં હતા. મેં તેમને પૂછ્યું- અચાનક કેમ એફડી તોડી રહ્યાં છો? વૃદ્ધ ગ્રાહકે કહ્યું- સેટેલાઇટમાં હાલ હું 2 બીએચકે ફ્લેટમાં રહું છું, હવે નવો 3 બીએચકે ફ્લેટ લેવાનો છું. તેમને આ કારણ રજૂ કરતા અમે એમની એફડી તોડીને નાણા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. એ પછી ગુરુવારે સવારે તે જ ગ્રાહક રૂ. 45 લાખનું આરટીજીએસ ફોર્મ લઇને આવ્યાં. આ ફોર્મ મંજૂરી માટે મેનેજરની પાસે પહોંચ્યું તો તેઓ ચોંકી ઉઠ્યાં. આ રકમ ઓડિશાની આઈસીઆઈસીઆઈ બેન્કની એક બ્રાન્ચના ખાતામાં મોકલવાની હતી. શંકા જતા મેનેજરે તાત્કાલિક આઈસીઆઈસીઆઈ બેન્કના સ્ટાફનો સંપર્ક કર્યો અને તે ખાતાની જાણકારી મગાવી. તપાસમાં ખુલાસો થયો કે આ ખાતું 5 વર્ષથી ડોરમેન્ટ છે. આ ખાતામાં 5 વર્ષથી કોઇ ટ્રાન્ઝેકેશન થયું નથી. આ ખાતું 2021 માં ખોલાયું હતું અને પાંચ વર્ષમાં એકપણ રૂપિયો જમા કરાયો નહોતો કે એકપણ રૂપિયો ઉપાડાયો નહોતો. બેન્ક મેનેજરને તેનાથી વધુ શંકા થઇ. તેમણે તાત્કાલિક ટ્રાન્ઝેકેશન રોકી દીધું અને ગ્રાહકને બોલાવી સવાલ કર્યા. આવી રીતે પકડાયા... બેન્ક મેનેજરને શંકા થઇ તેમણે ટ્રાન્ઝેકેશન રોક્યું ગ્રાહકને બોલાવી સવાલ કર્યા બેન્ક મેનેજર- તમે આટલા પૈસા કેમ ઉપાડી રહ્યાં છો?વૃદ્ધ- અમદાવાદમાં મકાન ખરીદવું છે.બેન્ક મેનેજર- પરંતુ જે ખાતામાં પૈસા આરટીજીએસ કરાવી રહ્યાં છો તે ઓડિશાનું છે.વૃદ્ધ- અરે! હા, મારે આ પૈસા મારા મામાને આપવાના છે.બેન્ક મેનેજર- તમારા મામા સાથે વાત કરાવો.તેમણે વૃદ્ધને કહ્યું- ફોન કાપી નાંખો. પછી કડકાઇથી પૂછ્યું-બેન્ક મેનેજર- આખી વાત જણાવો? મામલો શું છે?(મેનેજરે સતર્કતા દાખવીને સવાલો કર્યા પછી સાચી હકીકત સામે આવી) વૃદ્ધે આખી વાર્તા જણાવી... મની લૉન્ડરિંગનો કેસ છે... કોલાબા પોલીસે મને ડિજિટલ એરેસ્ટ કર્યો છેમારી વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ છે. કોલાબા પોલીસે મને ડિજિટલ એરેસ્ટ કર્યો છે. મને 19 તારીખની સવારે 8:30 વાગ્યે ફોન આવ્યો હતો. કૉલરે પોતાને મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ દર્શાવ્યો. અને કહ્યું કે જેટ એરવેઝના માલિકે રૂ. 538 કરોડનું કૌભાંડ કર્યું છે. તેના પૈસા તમારા એકાઉન્ટમાં પણ આવ્યાં છે. ત્યારબાદ તેણે ઈડીની નોટિસ, એરેસ્ટ વૉરન્ટ મોકલી કહ્યું કે તમને ડિજિટલ એરેસ્ટ કરાયા છે. પછી 9 દિવસ સુધી વીડિયો કૉલ પર રાખ્યો. તેમણે વેરિફિકેશનના નામે રૂ. 45 લાખ ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. આખી વાર્તા સાંભળ્યાં પછી બેન્કના મેનેજરે રકમનું ટ્રાન્સફર રોકી દીધું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના રશિયન સ્ટડીઝ વિભાગે રશિયન ફેડરેશનના બે શિક્ષકો વિદ્યાર્થીઓને એક મહિનાની શૈક્ષણિક બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. રશિયન ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા યુનિ.માં આવેલા આ બે મહિલા શિક્ષકો 150 જેટલા વિદ્યાર્થીઓને ભાષાની જાણકારી આપશે. રશિયન ફેડરલ એજન્સી રોસોટ્રુડનિચેસ્ટવો અને રશિયન ફેડરેશન સરકાર હેઠળની ફાઇનાન્સિયલ યુનિવર્સિટી દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. બે મૂળ રશિયન શિક્ષકો એકટેરીના ઇઝુટોવા અને ડારિયા મોઝગોવાયા આ કાર્યક્રમ માટે ખાસ મોસ્કોથી વડોદરા આવ્યા છે. તેમના મહિનાભરના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રશિયન ભાષાની સૂક્ષ્મતાનો પરિચય કરાવવા માટે રચાયેલ તલ્લીન શૈક્ષણિક સત્રોનો સમાવેશ થાય છે, જ્યારે રશિયાની સાંસ્કૃતિક, બૌદ્ધિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું વ્યાપક અન્વેષણ પણ કરવામાં આવે છે. વ્યાખ્યાન મોડ્યુલોમાં રશિયન ભાષાના પાયાના તત્વોથી લઈને રશિયન સાહિત્ય, લોક પરંપરાઓ, પ્રદર્શન કલા, વૈજ્ઞાનિક નવીનતાઓ, અવકાશ સંશોધન અને સમકાલીન સામાજિક વિકાસ પર સમૃદ્ધ સત્રો સુધીના પ્રભાવશાળી વિષયોનો સમાવેશ થાય છે. સેમિનાર, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વિનિમય ચર્ચાઓનો સમાવેશ શિક્ષણશાસ્ત્રના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી આકર્ષાય છે. રશિયન વિભાગને એમએમાં અધ્યાપકોનો અભાવ, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા નથીઆંતરરાષ્ટ્રીય ભાષાનું મહત્વ વધ્યું છે ત્યારે વિવિધ યુનિવર્સિટી -કોલેજો ભાષાના અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટીઓમાં દાયકાઓથી વિવિધ ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી ભાષામાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી નથી જેના પગલે વિદ્યાર્થીઓની સંખ્યા પર અસર કરી રહી છે. રશિયન ભાષામાં એમએ કરવામાં આવે છે પંરતુ અધ્યાપકોના અભાવે છેલ્લા બે વર્ષથી એમએમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા નથી ભાસ્કર ઇનસાઇડભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલુંઆ શૈક્ષણિક ભાગીદારી વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક શિક્ષણની તકોના વિસ્તરણ અને માનવતા અને સાંસ્કૃતિક અભ્યાસના ક્ષેત્રમાં ભારત-રશિયા સંબંધોને મજબૂતી માટે મહત્વપૂર્ણ પગલું છે. વૈશ્વિકરણ પામતી દુનિયામાં અર્થપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર કરે છે.
ભારતનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. પેરીસથી પાંચ ગણો મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આપણાં કચ્છમાં આકાર લઈ રહ્યો છે. દેશની પહેલી હાઇસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડવાની છે. ધોલેરામાં દેશનાં સૌપ્રથમ ફ્યુચર સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. દેશનાં પહેલા ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ગાંધીનગરના GIFT સિટીએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. લોથલમાં વિશ્વના સૌથી મોટા હેરિટેજ કોમ્પ્લેક્સના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ વે, જામનગરમાં બનેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ હોય કે, અમદાવાદ રિવરફ્રન્ટનો નવો ફેઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ તમામ પ્રોજેક્ટ વર્લ્ડક્લાસ છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાત બિગ પ્રોજેક્ટ'માં આ તમામ પ્રોજેક્ટના ડિટેલ વીડિયો જોવા મળશે. દિવ્ય ભાસ્કરના એન્કર ચિંતન ભોગાયતા ગ્રાઉન્ડ ઝીરોથી આ હાઇટેક પ્રોજેક્ટ બતાવશે. આ પ્રોજેક્ટથી ગુજરાતને શું ફાયદો થશે અને તમારી લાઇમાં શું-શું ચેન્જ આવશે એ પણ જણાવશે. એટલું જ નહીં મોશન ગ્રાફિક્સની સાથે સાથે આ પ્રોજેક્ટ્સના તમને ક્યારેય ન જોયેલા ડ્રોન વ્યૂ પણ જોવા મળશે. દિવ્ય ભાસ્કર એપ પર તમે 29 નવેમ્બરથી દર શનિવારે સવારે છ વાગ્યાથી ગુજરાતના એક બિગ પ્રોજેક્ટનો વીડિયો જોઈ શકશો. આવતી કાલે પહેલા એપિસોડમાં જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનો ડિટેલ વીડિયો જોઈ શકશો. આ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને નોલેજફુલ વીડિયો જોવા માટે તમે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.
વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોનો ફાયદો ઉઠાવવા માટે લેભાગુ એજન્ટો સતત સક્રિય હોય છે. લોકો સાથે ઠગાઇ થઇ હોય તેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આવી જ ઘટના ફરી એકવાર બની છે. આ વખતે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકોને નિશાન બનાવાયા છે. અંદાજે દોઢ મહિના પહેલાં જ ઓસ્ટ્રેલિયાની સરકારે એક નિયમમાં ફેરફાર કર્યો હતો. ઘણા વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટ્સે આ નિયમથી જે બદલાવ આવ્યો તેના વિશે ખોટી માહિતી ફેલાવી. જેથી કેટલાય ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થયા છે. આ મામલે હોબાળો મચતાં ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના દેશની તમામ યુનિવર્સિટીઝ માટે એડવાઇઝરી જાહેર કરવી પડી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કયા નિયમમાં ફેરફાર કર્યો હતો? તેનાથી વિઝા એપ્લિકેશન પર શું અસર પડી છે? વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે ઠગાઇ થતી? ઓસ્ટ્રેલિયાની સરકારે જે એડવાઇઝરી બહાર પાડી છે તે શું છે? આ તમામ સવાલો અંગે દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી માહિતી મેળવી હતી. વિઝા એપ્લિકેશન માટે અલગ અલગ એસેસમેન્ટ લેવલજ્યારે કોઇ વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયાના વિઝા માટે એપ્લિકેશન કરે ત્યારે તે એપ્લિકેશનનું એસેસમેન્ટ થાય છે. એસેસમેન્ટ માટે 1,2,3 એમ અલગ અલગ પ્રકારના લેવલ હોય છે. જે દેશમાંથી નકલી ડોક્યુમેન્ટ કે નકલી ઇંગ્લિશ રિઝલ્ટ આવતા હોય તેનું એસેસમેન્ટ કડક રીતે થાય છે. આવા દેશોને હાઇએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકાય છે. એસેસમેન્ટ લેવલ-1 એટલે ઓછા રિસ્કવાળા દેશ અને એસેસમેન્ટ લેવલ-3 એટલે વધુ રિસ્કવાળા દેશ. ઓસ્ટ્રેલિયા ભારતને મોટાભાગે એસેસમેન્ટ લેવલ-3માં રાખે છે, ક્યારેક લેવલ-2માં પણ સ્થાન મળ્યું છે. ભૂતકાળમાં ભારત લેવલ-1માં પણ હતું. જેમાં અમેરિકા, UK વગેરે જેવા દેશ હતા. હાલમાં ભારત લેવલ-2માં છે. એસેસમેન્ટ લેવલ-3માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો છે. ભારત અત્યારે મીડિયમ રિસ્ક ફેક્ટરવાળા દેશોમાંઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે, લગભગ દોઢ મહિના પહેલા ભારતને એસેસમેન્ટ લેવલ-2માં મૂકાયું હતું. આ એસેસમેન્ટ લેવલનો અર્થ એ થાય કે રિસ્ક ફેક્ટર મીડિયમ છે. એવું કહી શકાય કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કે ઇંગ્લિશ એક્ઝામનું રિઝલ્ટ નહીં હોય તો ચાલશે. આનાથી વિઝા પ્રોસેસ ફાસ્ટ થાય અને વિઝા મળવાના ચાન્સ પણ વધુ રહે છે. જેથી ઘણા વિઝા કન્સલટન્ટ અને એજન્ટસે એવું માર્કેટિંગ શરૂ કર્યું હતું કે હવે તમારે ઇંગ્લિશ લેંગ્વેજ કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી. જે હકીકત હતી તેનું ખોટું માર્કેટિંગ કરાયું'સામાન્ય રીતે એસેસમેન્ટ લેવલ 2માં કેન્ડિડેટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય તો ઇંગ્લિશ ટેસ્ટ રિઝલ્ટ જરૂરી નથી હોતું. એમને સીધું એડમિશન મળી શકતું હોય છે. એસેસમેન્ટ લેવલ 1માં ઇંગ્લિશ ટેસ્ટ કે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટની પણ કોઇ જરૂર નથી. એસેસમેન્ટ 2માં મોડરેટ રિકવાયર્મેન્ટ છે. જોકે ભારત એસેસમેન્ટ લેવલ-2માં આવતા જ એક પ્રોબ્લેમ શરૂ થયો કે જે હકીકત હતી તેને વધારે મોટી કરીને માર્કેટિંગ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે,ઓસ્ટ્રેલિયાની સરકારે યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવાની અને જાતે વેરિફાઇ કરીને પછી એપ્રુવલ આપવાની સત્તા આપી છે. યુનિવર્સિટી એપ્રુવલ આપે તે પછી સરકાર તેને વેરિફાઇ કરે. 'ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી બધું કરી લે તો હાઇ કમિશને તેમાં વધારે રિસર્ચ કરવાની જરૂર હોતી નથી. જેથી એવું બની શકે કે ઓસ્ટ્રેલિયામાં એડમિશન લેતા બહુ જ વાર લાગે પણ એ પ્રોસેસ પૂરી થાય એટલે વિઝા સિક્યોર થઇ જાય. હાઇ કમિશન અમુક વસ્તુઓ ચેક કરીને વિઝા આપી દે.' ઓસ્ટ્રેલિયા સરકારે યુનિવર્સિટીઓ માટે એડવાઇઝરી જાહેર કરીતેઓ આગળ જણાવે છે કે, ઘણીવાર અમે બપોરે 12 વાગ્યે વિઝા એપ્લાય કર્યા હોય અને 12:10 વાગ્યે વિઝા મળી જાય. ફેક માર્કેટિંગ શરૂ થવાથી ઓસ્ટ્રેલિયાએ ઘણી બધી અરજીઓ રદ કરી દીધી. ઓસ્ટ્રેલિયન સરકારને થયું કે અમે સરળ કરી આપ્યું છે એને નકારાત્મક રીતે તેનો પ્રચાર કરાય છે. જેના કારણે નોન જેન્યુઇન સ્ટુડન્ટ્સ વધારે આવશે. જેથી સરકારે બધી યુનિવર્સિટીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે કે જે યુનિવર્સિટી કોઇપણ વિદ્યાર્થીને એન્ટ્રી આપે છે તો ફાઇનાન્સ અને ઇંગ્લિશ ફરજિયાત ચેક કરવું પડશે. એજન્ટોએ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવાનું શરૂ કર્યું'ઘણી બધી એડમિશન એજન્સીએ આવું નકારાત્મક માર્કેટિંગ કર્યું છે. ભારતનો ઓવરઓલ ટ્રેન્ડ થોડો બદલાયો છે. પહેલાં વિદ્યાર્થીઓની પસંદના ટોપ-4 દેશો યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હતા.' 'અત્યારે અમેરિકાના વિઝા બહુ અઘરા છે, કેનેડાએ પણ વિઝાની સંખ્યા ઘટાડી છે. યુકેમાં 2 વર્ષ સ્ટડી બાદ 18 મહિનાની વર્ક પરમિટ મળે છે, પહેલાં 24 મહિનાની વર્ક પરમિટ મળતી હતી. આ બધા કારણોને લીધે લોકો ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા. ઓસ્ટ્રેલિયામાં વર્ક અને પીઆરના ચાન્સ વધુ છે. જેથી બધાએ ઓસ્ટ્રેલિયાને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. એજન્ટોને થયું કે આપણે સ્ટુડન્ટ્સને ત્યાં મોકલીને બિઝનેસ કરીએ.' 'ઓસ્ટ્રેલિયામાં અમુક વિઝા ખૂબ જ સ્ટ્રીક્ટ છે. જેની સિસ્ટમ અઘરી અને પારદર્શક છે. તેમાં સ્ટડી બાદ કેટલા વર્ષનો ગેપ ચાલશે તે ક્લિયર લખેલું છે. વિઝા એપ્લિકેશન ફી 2 હજાર ડોલર એટલે કે 1 લાખ રૂપિયાથી વધારે છે.' એકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય પછી નો ચાન્સ'સૌથી મોટો ક્લિયર પોઇન્ટ છે કે એક વાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા પછી બીજીવાર ક્યારેય સ્ટુડન્ટ વિઝા એપ્લાય નથી કરી શકાતા. હા, કોઇએ 12મા ધોરણ બાદ વિઝાનો પ્રયત્ન કર્યો હોય તો એમ બને કે અહીંયા બેચલર ડિગ્રી પૂરી કર્યા બાદ પ્રયત્ન કરી શકે પણ અત્યારે ફરી ટ્રાય કરે તો વિઝા ન મળે.' ઓસ્ટ્રેલિયામાં વિઝા એપ્લિકેશન ફિલ્ટર થવા પાછળનું કારણ જણાવતા પાર્થેશ ઠક્કરે કહ્યું, ઘણા સ્ટુડન્ટ્સને ડોક્યુમેન્ટ ભેગા કરવા નથી હોતા, અમૂક વિદ્યાર્થીને ફાઇનાન્સ હોય પણ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી હોતા. તે કેશમાં ટ્રાન્ઝેક્શન કરતાં હોય છે. ઘણાને એજ્યુકેશન લોન પણ નથી મળતી. એના કારણે ઘણા બધા કેન્ડીડેટ ઓસ્ટ્રેલિયામાં ફિલ્ટર થઇ જાય છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, ધારો કે 100 સ્ટુડન્ટ્સ એપ્લિકેશન કરે તો 40 જેટલા સ્ટુડન્ટ્સ તો ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સના કારણે જ નીકળી જાય. એના કારણે અનએથિકલ પ્રેક્ટિસ કરતાં હોય તે લોકો સ્ટુડન્ટ્સને આકર્ષવા માટે કોઈપણ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરે છે. આવા લોકોનો ઇરાદો તો રૂપિયા કમાવાનો જ હોય છે. એકવાર ફી આવે એ સ્ટુડન્ટને પાછી નથી આપતા. વિઝા રિજેક્ટ થાય તો વાંક સ્ટુડન્ટનો છે તેવું કહે છે. ઓસ્ટ્રેલિયાની સરકારે નવી એડવાઇઝરી જાહેર કરી એમાં એવું પણ જોવા મળ્યું કે લોકોએ નકલી પાસપોર્ટ પર વિઝા અરજી કરી હતી. 'મારી પાસે એવા ઘણા સ્ટુડન્ટ્સ આવે છે જે ઓસ્ટ્રેલિયાના આ નિયમો અનુસાર યોગ્યતા ધરાવતા નથી હોતા. અમે તેને બધી રીતે મદદ કરીએ છીએ. અમે તેમને કહીએ છીએ કે તમારા પેરેન્ટ્સનું આઇટી રિટર્ન ચેન્જ કરો, કોઇ બેંકમાંથી એજ્યુકેશન લોન લો. ઓસ્ટ્રેલિયન હાઇકમિશન દ્વારા વેલિડ પ્રાઇવેટ કંપનીમાંથી લોન લો, પછી આગળ વધી શકો છો.' સ્ટુડન્ટને ઓસ્ટ્રેલિયા જવાની ઉતાવળ'ઘણા લોકોને આવું નથી કરવું હોતું. કેટલાકને ફટાફટ ઓસ્ટ્રેલિયા જતું રહેવું હોય છે. કેટલાકને એમ હોય કે આટલી બધી રાહ નથી જોવી. એમને શોર્ટકટ બતાવનાર કોઇને કોઇ મળી જાય છે. જેમાં છેવટે તો નુકસાન સ્ટુડન્ટને જ થાય છે. ' ઇંગ્લિશની પરીક્ષાનું પરિણામ જરૂરીઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે IELTS, PTE, CELPIP એમ કોઇપણ ઇંગ્લિશ લેંગ્વેજની પરીક્ષાનું રિઝલ્ટ તો જોઇશે જ. આ વિશે વધુ જણાવતા તેઓ કહે છે કે, પ્રોપર ફંન્ડિંગ અને ફાઇનાન્સ ડોક્યુમેન્ટ બતાવવા પડશે જ, એના વગર વિઝા નહીં આવે. ઓસ્ટ્રેલિયાની સરકારે નક્કી કર્યું છે કે જે યુનિવર્સિટી આવા સ્ટુડન્ટ્સને એડમિશન આપશે તેનું રેન્કિંગ પણ ડાઉન કરશે. જેથી યુનિવર્સિટીને માસ વિઝા રિજેક્શન ફેસ કરવું પડે એવી સ્થિતિ બનશે. જેને ટાળવા યુનિવર્સિટીઓએ કડક વલણ અપનાવ્યું છે. જેની પ્રોફાઇલ ક્લિયર ન હોય તેને GS એપ્રુવલ નથી આપતી. 'દિવાળી પછી એવું પણ બન્યું છે કે સ્ટુડન્ટ્સ વિઝા માટે ઓલરેડી સબમિટ કરેલી એપ્લિકેશનમાં પણ રીએસેસ કરીને યુનિવર્સિટીએ સ્ટુડન્ટ્સને એવું કહ્યું છે કે તમે તમારી વિઝા એપ્લિકેશન પાછી ખેંચી લો.' લેવલ-3 પ્રમાણે ડોક્યુમેન્ટ આપવાના છે'એસેસમેન્ટ લેવલ-2 માં IELTS વગર એડમિશન મળી શકે પણ સરકારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે જો એપ્લિકેશન ઇન્ડિયામાંથી આવી હોય તો અમારે રિઝલ્ટ જોઇશે. એમ કહી શકાય કે ઇન્ડિયા એસેસમેન્ટ લેવલ-2માં પણ નથી અને 3માં પણ નથી. ભલે ઇન્ડિયા ઓફિશિયલી તો એસેસમેન્ટ લેવલ-2માં જ છે પણ ઇંગ્લિશ અને ફાઇનાન્સના ડોક્યુમેન્ટ તો લેવલ-3 પ્રમાણે જ આપવાના છે. આ યુનિક સિચ્યુએશન છે.' ન્યૂઝિલેન્ડના વિઝા પણ મુશ્કેલ થઇ જશેતેમણે કહ્યું કે,એકવાર સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય તો બીજીવાર મળવા બહુ જ અઘરા છે. એવું નથી કે 100% રિજેક્શન થાય છે પણ ઘણા મુશ્કેલ છે. જો ઓસ્ટ્રેલિયામાં વિઝા રિજેક્ટ થાય તો ન્યૂઝિલેન્ડમાં પણ નહીં મળે કેમ કે બન્ને દેશોની વિઝા સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ છે એટલે ઓસ્ટ્રેલિયાના વિઝા રિજેક્ટ થયા તો ન્યૂઝિલેન્ડના વિઝા પણ મળવા બહુ જ અઘરા છે. કેટલા વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થયા હશે તે વિશે તેમણે કહ્યું કે, કોઇ ચોક્કસ નંબર જાહેર નથી થયો પણ અમારા સર્કલમાંથી આવતા ફિડબેક મુજબ 4 આંકડામાં તો નંબર હશે જ. અમારી પાસે આવા રિજેક્ટ થઇને આવેલા સ્ટુડન્ટ્સ છે. એવા સ્ટુડન્ટ્સ પણ છે કે જે જૂન જુલાઇમાં અહીંયા આવ્યા હોય અને અમે ના પાડી હોય કે આવું ન કરશો, વિઝા અરજી રદ થશે. જેથી તેવા સ્ટુડન્ટ્સ બીજી જગ્યાએ જાય અને ત્યાંથી એપ્લાય કરે પછી તેમના વિઝા રિજેક્ટ થાય છે. આવામાં બીજા એજન્ટ એવું કહે છે કે હવે ફરીથી એપ્લાય કરો. બીજીવાર વિઝા નથી મળતા તો પણ મિસગાઇડ કરનાર લોકો પણ છે.
સ્પર્ધા:બાસ્કેટ બોલમાં 82 ટીમનું ઘમાસાણ, 6 હવે ઝોનમાં જશે
વડોદરા શહેરની ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટીની વિવિધ શાળા-કોલેજની 82 ટીમ અને 984 ખેલાડીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ, એસએજી બાસ્કેટ બોલ કોચ વિશ્વા ધીમન ઉપસ્થિત રહ્યા હતા. બાસ્કેટ બોલ સ્પર્ધામાં 82 ટીમ વચ્ચે ઘણાસાણ સ્પર્ધા જોવા મળી હતી. ત્યારબાદ 6 ટીમની ઝોન અને રાજ્યકક્ષાની સ્પર્ધામાટે પસંદગી કરવામાં આવી હતી. વિજેતા ટીમોમાં અંડર-14 બહેનોમાં સિગ્નસ વર્લ્ડ સ્કૂલ, અંડર-14 ભાઈઓમાં બ્રાઈટ ડે સ્કૂલ, અંડર-17 બહેનો તથા ભાઈઓ બંનેમાં ઉર્મી ડીએલએસએસ, અબાવ-17 ભાઈઓમાં બરોડા બ્લુ, જ્યારે અબાવ-17 બહેનોમાં એમ.એસ.યુનિવર્સિટીની ટીમો ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધા દ્વારા આવનારી ઝોન તથા રાજ્ય કક્ષાની પસંદગીઓ પણ કરવામાં આવી હતી. સ્પર્ધા બાદ સિટીના બાસ્કેટ બોલના ખેલાડીઓ સહિત કોચે તાજેતરમાં હરિયાણા ખાતે બાસ્કેટ બોલના ખેલાડીના મૃત્યુની દુર્ઘટનાના પગલે તમામ ખેલાડીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. હાઈડ્રોલિક રિંગ શું છે?હાઈડ્રોલિક રિંગ બાસ્કેટ બોલ હૂક સિસ્ટમ મશીનિઝમ હોય છે. જે ઊંચાઈ પ્રમાણે ઉપર-નીચે કરી શકાય અને વધારે પ્રેશર આવે ત્યારે તે ઝૂકી જાય છે જેથી ઈજા ન થાય. ખેલાડી જ્યારે ડંક કરે અથવા રિંગ પર લટકે ત્યારે રિંગ ઝૂકે છે. રિંગ બોર્ડ તૂટવાની શક્યતા ઓછી હોય છે અને વધારે ભાર સહન કરે છે. હાઇડ્રોલિક રિંગ પર જ લટકવુંખેલાડીઓ ઘણીવાર રિંગને પકડીને લટકવાનો પ્રયત્ન કરે છે, જે કેટલીક વાર જોખમી બને છે. નોન-હાઇડ્રોલિક રિંગ પર આ પ્રકારનું પ્રદર્શન ટાળવું જોઇએ, કારણ કે રિંગ તૂટી જવાની તથા ગંભીર ઈજા થવાની સંભાવનાઓ રહે છે. મેદાન તથા સાધનોની નિયમિત ચકાસણી અનિવાર્ય છે. વડોદરામાં 60થી પણ વધારે બાસ્કેટ બોલના ગ્રાઉન્ડ પર 2 હજારથી વધુ બાસ્કેટ બોલના ખેલાડીઓ રમે છે. આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સલામતીના નિયમોનું પાલન કરવું. ખેલાડીઓએ શું ધ્યાન રાખવું?નોન-હાઈડ્રોલિક રિંગ પર ક્યારેય લટકવું નહીં. ડંક માત્ર મજબૂત, હાઈડ્રોલિક, ટેમ્પર્ડ ગ્લાસ બોર્ડ પર જ કરવી જોઇએ. નોન હાઇડ્રોલિક પર ડંક કરવો ન જોઇએ. તેમજ ડંક કરતા પહેલા ખેલાડીઓએ રોપ્સ, બોલ્ટ, બોર્ડ, બોર્ડ પ્લેટના પરિસ્થિતિ ચેક કરવી અનિવાર્ય છે.
ગર્વની વાત:આત્મવિશ્વાસ-સ્ટેજ પ્રેઝન્સથી પૃથ્વીએ મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડનો ખિતાબ જીત્યો
પોલેન્ડ ખાતે પ્રતિષ્ઠિત મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના પૃથ્વીએ મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજય પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. 22 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પૃથ્વી શાહે પોતાના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સ્ટેજ પ્રેઝન્સ સાથે પોતાનું ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું અને તેના દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંતિમ રાઉન્ડમાં તેમણે મજબૂત પ્રદર્શન કરી મિસ્ટર ઇન્ડિયા પોલેન્ડનો તાજ પોતાના નામે કર્યો હતો.
ભૂવા દ્વારા ઠગાઈ:ભૂવાએ વિધિના બહાને મકાન માલિકના દાગીના પડાવ્યા,કાર્ડથી ખરીદી કરી લીધી
ભાડે રહેતા ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને સોનાના દાગીના લઈને ભાગી ગયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવી છે. હરણી રોડ વિજયનગર ખાતે મકાન ધરાવતા કૃમિલ ભરતભાઈ ગાંધીએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘનશ્યામ મહારાજને મકાનમાલિક કૃમિલના લગ્ન નહીં થતાં હોવાની જાણકારી મળી હતી. રિણામે ફોન કરી તમારા ગ્રહો નડતા હોવાથી લગ્ન થતા નથી એમ કીધું હતું.સોનાના દાગીના વિધિ માટે મંગાવ્યા હતા. ક્રેડિટ કાર્ડ લઈ ભુવાએ 40 હજારનું ફ્રીજ અને 41 હજારનું એસી ખરીદ્યું હતું. ભૂવો શહેર છોડી ભાગી ગયો હતો.જોકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ભૂવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પણ ભૂવાએ છેતરપિંડી કરી હતી વારસિયા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.વસાવાએ જણાવ્યું છે કે, હિતેશ ઉર્ફે ઘનશ્યામ મહારાજ યાજ્ઞિક સામે અમદાવાદના નવરંગપુરા, સેટેલાઇટ પોલીસ મથકે પણ ગુના નોંધાયા હતા. ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન સૌથી પહેલાં જ કરાવી લેવું જોઇએમકાન દુકાન ભાડે આપ્યા બાદ સ્થાનિક પોલીસ મથકે એની નોંધણી કરાવવી જરૂરી છે અને ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન પણ કરાવવું જોઈએ. જોકે મિલકત ધારકો પોલીસ મથકના ધક્કાથી બચવા નોંધણી કરાવતા નથી. આવા કિસ્સામાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી મકાન માલિક સામે કાર્યવાહી થઈ શકે છે. અને પોલીસ વેરિફિકેશન દરમિયાન ભાડૂઆત કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અગાઉ સંડોવાયેલો છે કે કેમ તેની પણ જાણકારી મળી શકે છે. > ભાવિન વ્યાસ, નોટરી અને વકીલ
ભાસ્કર બ્રેકિંગ:હવે ‘ક્રિપ્ટો સેલ’; કારણ 9 વર્ષમાં 25 હજાર કરોડનું ફ્રોડ, 300 ફરિયાદ પણ ‘0’ સજા
ધીરેન્દ્ર પાટિલ રાજ્યના ગૃહ ખાતાએ મોટી કાર્યવાહી કરતા ગુજરાતમાં અલગ ક્રિપ્ટો સેલ શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. આ સેલ માત્ર ક્રિપ્ટો કરન્સીમાં છેતરપિંડી, ફ્રોડ અને રોકાણ સંબંધિત ફરિયાદોની જ તપાસ કરશે. રાજ્યના DGP વિકાસ સહાયે ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ દરેક પોલીસ કમિશનરેટ અને એસપી કક્ષાએ સાઈબર સેલ સક્રિય છે, પરંતુ ક્રિપ્ટો કેસોની જટિલતા અને વિશેષ તપાસ જરૂરીયાતને કારણે હવે સ્પેશ્યલ ક્રિપ્ટો સેલ ઉભું કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે 300થી વધુ ક્રિપ્ટો ફરિયાદો આવતા હોવા છતાં, તેની તપાસમાં ટેકનિકલ પડકારો, અલગ પ્લેટફોર્મ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનના કારણે મહિનાઓ-વર્ષો લાગી જતા હતા. હવે આ નવી સેલ માત્ર ક્રિપ્ટો કેસોની જ તપાસ કરશે અને ટીમ અન્ય કોઈ કેસ હેન્ડલ નહીં કરે. સુરત–અમદાવાદની ટીમોને હૈદરાબાદ ખાતે ક્રિપ્ટોની હાઈટેક તપાસ માટે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022માં સરથાણામાં નોંધાયેલો ટ્રોન 24 કોઈનનો કેસ અને 2018ના બીટકનેક્ટ કેસની સઘન તપાસ જરૂરી છે. ઇડી જેવી એજન્સીઓ સાથે ડેટા શેરિંગથી આંતરરાષ્ટ્રીય સ્કેમ્સનું ટ્રેકિંગપહેલી વાર રાજ્યની ટીમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ઇન્ટરપોલ ફાઈનાન્સિયલ યુનિટ (IFU) અને CERT-In સાથે સીધી ડેટા શેરિંગ કરશે. આથી આંતરરાષ્ટ્રીય સ્કેમ્સની પણ ટ્રેકિંગ શક્ય બનશે. ભાસ્કરના સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં ચાલતી અનરજિસ્ટર્ડ ક્રિપ્ટો સ્કેમ્સનું કુલ મૂલ્ય 40 હજારથી 50 હજાર કરોડ સુધીનું છે. કારણ - લાખો લોકો એપ ડાઉનલોડ કરે છે, એમએલએમ ચેન દ્વારા પૈસા ફેરફાર થાય છે, રોકાણ દુબઈ, ઓમાન, યુરોપ તરફ જાય છે. આ સમગ્ર સિસ્ટમની પહેલી વાર કોઈ સરકારી એજન્સી તપાસ કરશે. 1. ઘણા કેસમાં રકમ 2-3 હજાર કરોડ સાઈબર ક્રાઈમ એક્સપર્ટ એડવોકેટ નરેન્દ્ર સોરઠિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ગુજરાતના લોકોએ અલગ–અલગ ક્રિપ્ટો સ્કીમોમાં 25 હજાર કરોડ રૂપિયા સુધી ગુમાવ્યા છે. તપાસ થાય તો ઘણા કેસોમાં આંકડો 2-3 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. 2. તપાસ થાય તો ઘણું ખુલે : ફરિયાદીટ્રોન 24 ક્રિપ્ટોમાં છેતરપિંડીનો ભોગ બનેલા ઉમેશ જૈને જણાવ્યું હતું કે મેં 6 જાન્યુઆરી 2022એ સરથાણામાં ફરિયાદ કરી હતી. જો તપાસ યોગ્ય રીતે થાય તો હજુ હજારો કરોડનો ગેરવહીવટ બહાર આવે. આ એક એપ ટ્રોન 24 ક્લાઉડ માઈનિંગ 1 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. 3. એટલું મોટું રેકેટ કે EDએ કેસ કર્યો2018માં સીઆઈડીએ બીટકનેક્ટ ક્રિપ્ટો કેસમાં 1.14 કરોડની છેતરપિંડી નોંધાવી હતી. પરંતુ આગળની તપાસમાં આંકડો 13 કરોડ સુધી ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૉઈનમાં વિદેશીઓએ પણ રોકાણ કર્યું હતું. ફ્રોડનો આંક અઢી હજાર કરોડથી વધુ થયો હતો. ગુજરાતમાં ક્રિપ્ટો કૌભાંડની મોટી ઘટનાઓનવેમ્બર 2025: અમદાવાદના સોલામાં ક્રિપ્ટોમાં રોકાણના નામે વેપારી સાથે 31 લાખની ઠગાઈ. મહિલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરે ટ્રે઼ડિંગ પ્લેટફોર્મમાં રોકાણ કરાવી પૈસા પડાવ્યા.નવેમ્બર 2025: ગુજરાત પોલીસ અને રેલવેના સાયબર સેન્ટરે ગુજરાતથી દુબઈ સુધી ફેલાયેલા 200 કરોડના સાયબરક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ફ્રોડની રકમ ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરાતી હતી. માર્ચ 2025: સુરતના વેપારી અને તેના સંબંધીએ ક્રિપ્ટો સ્કેમમાં 1.43 કરોડ રૂપિયા ગુમાવ્યા. આરોપી હિરેન કુંભાણી અને વિરમ ગોયાણીએ ઊંચા વળતરના નામે રોકાણ કરાવ્યું હતું.ઓગસ્ટ 2025: અમદાવાદ પોલીસે છેતરપિંડીના નાણા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરવાનું 16 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સ્કેમના સ્થાનિક આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હતા. ભાસ્કર ઇનસાઇડ; ક્રિપ્ટો સેલ વોલેટ ટ્રેકિંગ, ફોરેન્સિક તપાસ સુધી કરશેક્રિપ્ટો સેલની પોતાની નિષ્ણાત ટીમ હશે, જે વોલેટ ટ્રેકિંગ અને ક્રિપ્ટો ફોરેન્સિક તપાસ સુધી કરશે. હૈદરાબાદમાં આ બેચની પહેલી ટ્રેનિંગ શરૂ થઈ ચુકી છે. આ ટીમ ફક્ત ક્રિપ્ટોના કેસ જ જોશે, જેથી કેસ લાંબા ચાલશે નહીં. એક અધિકારીના કહેવા પ્રમાણે, ‘અમારી પાસે છેલ્લા 5 વર્ષના ક્રિપ્ટો કેસનો સંપૂર્ણ ડેટા છે. નવી સેલ સાથે રિવ્યૂ થશે તો ઘણા છુપાયેલા મોટા રેકેટ ખુલી શકશે.’ અમદાવાદમાં સર્વર-એપ બેઝ્ડ સ્કેમ, સુરતમાં ક્લાઉડ માઇનિંગ, રાજકોટમાં ચેન મોડલ ફ્રોડસાયબર ટીમના અધિકારીઓએ કબૂલ કર્યું કે ગુજરાતમાં સૌથી વધુ ક્રિપ્ટો ફ્રોડ ત્રણ શહેરોમાં થાય છે. સુરત એમએલએમ અને ક્લાઉડ માઇનિંગ સ્કીમ્સનું હબ છે. અમદાવાદ સર્વર બેઝ્ડ સ્કેમ અને એપ સ્કેમનો ગઢ બન્યો છે, જ્યારે રાજકોટ/જૂનાગઢ રેફરલ ચેન મોડલ અને વિદેશી કોઇનનો ગઢ છે. મોટાભાગની ગેંગ વિદેશી એપ્સ બતાવે છે, પરંતુ કંડીશન, સર્વર, વોટ્સએપ ગ્રુપ અને પેમેન્ટનું સંચાલન સ્થાનીય નેટવર્ક સંભાળે છે. ફરિયાદો ઘણી, તપાસ ધીમી... આખરે સિસ્ટમ કેમ નિષ્ફળ?આનાં કારણો ઘણાં છે. જેમ કે તપાસ ટીમ પાસે ટેકનિકલ એક્સપર્ટ્સની ખોટ, આંતરરાષ્ટ્રીય પાસાં. ઘણાં સ્કેમ્સમાં પૈસા દુબઈ, સિંગાપુર, હોંગકોંગના વોલેટમાં જતા હતા, જેની ટ્રેકિંગ શક્ય નહોતી. ક્રિપ્ટો ફ્રોડની તપાસ હમણાં સાયબર સેલ જ કરતી હતી. એક-એક ઇન્સ્પેક્ટર પાસે બેન્કિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, મહિલાઓ સાથેના સાયબર ક્રાઈમ, હેકિંગ, ડિજિટલ અરેસ્ટ જેવા કેસ હતા.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલો ગુમ થઈ હતી. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરાતાં પોલીસે કેમ્પ ઓફિસનું પંચનામું કરવા મ્યુ. કમિશનરની પરવાનગી માગી છે. બીજી તરફ પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીઓનાં નિવેદન લેવાયાં છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઈલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલા કેમ્પ હાઉસમાંથી ફાઈલ ગુમ થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઈલ ન મળતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઈલ ગુમ થયાની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. ગુરુવારે સયાજીગંજ પોલીસે પાલિકામાં પહોંચી કેમ્પ હાઉસ ઓફિસમાં પંચક્યાસ કરવા મ્યુ. કમિશનર પાસે મંજૂરી પત્ર ઇનવર્ડ કરાવ્યો છે. બીજી તરફ સયાજીગંજ પોલીસે મ્યુનિસિપલ કમિશનરના પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતાં કર્મચારી અને અન્ય 3 કર્મચારીઓ મળી 5 લોકોનાં નિવેદન લીધાં હતાં. 2017-18માં ડામરકાંડમાં રોડ પ્રોજેક્ટમાંથી ફાઇલનાં પોટલાં ગાયબ થયાં હતાં, નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીપાલિકાનાં આધારભૂત સૂત્રો મુજબ 2017-18માં ડામર કૌભાંડ થયું હતું. જેમાં નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી. નવાપુરા પોલીસે પાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગ પાસે તપાસ માટે કૌભાંડ થયું તે સમયની ફાઈલ સહિતના દસ્તાવેજ માગતાં રોડ પ્રોજેક્ટ વિભાગે ફાઈલો મળતી ન હોવાથી તેને શોધવા સમય માગ્યો હતો. > હિતેશ ગુપ્તા, એડવોકેટ ભાસ્કર એક્સપર્ટસરકારી દસ્તાવેજ ગુમ થયા હોય તો તેની એફઆઈઆર નોંધી તપાસ કરવી જોઈએસરકારી દસ્તાવેજ ગુમ થયો હોય તો અરજી કેમ લેવાઈ, પોલીસ ફરિયાદ જ નોંધવી જોઈએ. પોલીસે જાણવા જોગ દાખલ કરીને ખાલી ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય માણસ અરજી કરે તો ખોટી છે કે કેમ તેની ખરાઈ કરવા પ્રાથમિક તપાસ કરાય છે. આ તો પાલિકાના અધિકારીઓ જ છે અને દસ્તાવેજ ગુમ થયા છે, જેથી એફઆઈઆર જ નોંધવી જોઈએ. આ ફાઇલ જેના તાબા હેઠળ હોય તે અધિકારી સામે ગુનો નોંધાય. મ્યુનિ. કમિશનર કે કોઈની પરવાનગી ન લેવાની હોય. બીજું કે અરજીના આધારે કરેલી પંચનામુ એફઆઈઆર બાદ ચલાવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
ચૌદશે દત્ત જન્મોત્સવ:વડોદરામાં 145 વર્ષ જૂનું દત્તાત્રેયનું એકમુખી કાળા પાષાણનું વિષ્ણુ સ્વરૂપ
શહેરના માંડવી ગેંડીગેટ રોડ પર આવેલા ઐતિહાસિક 145 વર્ષ જૂના દત્ત મંદિરને બે વર્ષ અગાઉ વાઘોડિયા ખટંબા નજીક સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન દત્તની પ્રતિમાની વિશેષતા છે. એકમુખી દત્તની કાળા પાષાણની આ પ્રતિમા વિષ્ણુ સ્વરૂપે છે. આ ભગવાન દત્તની પ્રતિવર્ષ જન્મ જયંતી પરીપાઠી મૂજબ ચૌદસે ઉજવવામાં આવે છે. મંદિરના સંચાલક લાલજી રવિન્દ્રભાઈ પટ્ટણકરે જણાવ્યા મુજબ, જ્યાં સ્વામી સમર્થ મહારાજની ચરણ પાદુકા હોય તેવા તમામ દત્તસ્થાનમાં ચૌદસના દિવસે આ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. સ્વામી સમર્થ મહારાજના સ્થાન જેવા કે, અક્કલકોટ, ગાણગાપુર, માહુરગઢ ખાતે પણ ચૌદસના દિવસે જન્મોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ અત્રે બી- 136 સ્પ્રિંગફિલ્ડ સોસાયટી,વાઘોડિયા રોડ ખાતે જન્મોત્સવ માટે બે દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજાને ત્યાં નોકરી કરતા પટ્ટણકર પરિવારે 1880માં પ્રાણ પ્રતિષ્ઠા કરાવીખાનગી માલીકીના આ દત્તમંદિરમાં 3.15 ફૂટની ભગવાન દત્તની પ્રતીમાં છે. જેમની જમણી બાજુએ બ્રહ્માજી અને ડાબી બાજુએ ભગવાન શિવ કોતરલા છે. પટ્ટણકર પરિવાર મહારાજા ગાયકવાડ સાથે મહારાષ્ટ્રથી વડોદરા આવ્યો હતો અને ગુજરાતમાં કૃષ્ણભક્તી અને ડાકોર રણછોડજીનું મંદિર હોવાથી દત્તભક્તી અને કૃષ્ણભક્તીનું એકાત્મ સાધવા આ પ્રતીમાં બનાવી હોવાનું જણાવ્યું હતું. મંદિરની સ્થાપના 1880માં ઓગષ્ટ મહીનામાં થઇ હતી.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સ્થળ પર દંડ કરવા સહિત ઈ-ચલણ ફટકારાય છે. 2023થી વન નેશન-વન ચલણની પોલિસી લાગુ કરાઈ હતી. જે હેઠળ 2023થી 2025 સુધી શહેરમાં 9.83 લાખ ઈ-ચલણ વાહન ચાલકોને અપાયાં છે, જેમાંથી 4.08 લાખ ચલણના રૂા.19.61 કરોડ લોકોએ ભરપાઈ કર્યા છે. જ્યારે 5.74 બાકી ચલણનાં 44 કરોડ હજુ લોકોએ ભર્યા નથી. શહેરમાં કેટલાક લોકોને 10થી વધુ ઇ-ચલણ અપાયાં છે, છતાં ભરપાઈ કર્યાં નથી. હાલમાં રૂા.44.37 કરોડનાં 5.74 લાખ ઇ-ચલણ ભરાયાં નથી. જેથી ટ્રાફિક પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું છે. જે અંતર્ગત 10થી વધુ ઇ-ચલણ બાકી હોય તેમને ઓળખી દંડ વસૂલાશે. જો દંડ ન ભરે તો વાહન ડિટેઇન કરવા સુધીની કાર્યવાહી કરાશે. સાથે ઇ-ચલણની વસૂલાત બાબતે લોક અદાલતનું આયોજન કરાશે. નોંધનીય છે કે, કાયદા મુજબ ચલણ જનરેટ થયાના 90 દિવસ દંડ ન ભરાય તો ચલણ કોર્ટમાં જતું રહે છે. 2023 થી 2025 સુધી કોર્ટમાં 4.56 લાખ ઈ-ચલણ મોકલાયાં છે, જેમાંથી 4.17 લાખ મેમો પેન્ડિંગ છે. કયા વર્ષે કેટલાં ઇ-ચલણ ફટકાર્યા?
વેધર રિપોર્ટ:વાદળ છવાતાં ઠંડી ગાયબ, પારો 33 ડિગ્રી થતાં ગરમીનો અનુભવ
શહેરમાં ભેજવાળા પવનો અને વાદળો છવાયેલાં રહેતાં પારો 20 ડિગ્રી પહોંચી જતાં ઠંડી ગાયબ થઈ ગઈ છે. જ્યારે દિવસે પણ પારો 33 ડિગ્રી સુધી પહોંચી જતાં ગરમીનો અનુભવ થયો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં 13 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, 27 નવેમ્બર, 2024ના રોજ વડોદરામાં ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાતાં શહેરીજનો ઠંડીમાં ઠૂઠવાયા હતા. શહેરમાં પાંચેક દિવસથી વાદળછાયું વાતાવરણ નોંધાઈ રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાદળો હટતાં અને ફરી ઠંડા પવનો ફૂંકાતાં ઠંડી વધે તેવી આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. શહેરમાં ગુરુવારે મહત્તમ પારો 33 ડિગ્રી, જ્યારે લઘુતમ પારો 20.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 86 ટકા અને સાંજે 52 ટકા નોંધાયું હતું. નોર્થ અને નોર્થ-વેસ્ટની દિશાથી 3 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. ગત વર્ષે પારો 12.6 ડિગ્રી થતાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી
પરીક્ષામાં AIથી ચોરી:વિદ્યાર્થિની ચેટજીપીટી જેમિનીએ આપેલા જવાબો લખતા ઝડપાઈ!
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઇ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો હતો, જોકે તે પકડાઈ ગઈ હતી. કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટજીપીટી, જેમીની જેવા એઆઇ પ્લેટફોર્મ્સથી લાઇવ જવાબ મેળવીને લખી રહ્યા છે. પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઇડલાઇન આપી છે. આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરોને સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને AIના જવાબોથી પણ ચેક કરવું અને જો કોપી થયેલું જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા.વિદ્યાર્થીઓ મોબાઇલ, સ્માર્ટવોચ અને એરબર્ડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે. જે પછી એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે, પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે. આમ, આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઇ ડિટેક્શન, મોનીટરીંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે. પરીક્ષા વિભાગ જણાવે છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે, જેમાં એઆઇ ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં. ટેક્નોલોજી શિક્ષણમાં ઉપયોગી છે, પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રામાણિકતાને જોખમમાં મૂકે છે ત્યારે હવે સાવચેતી રાખવી ફરજિયાત છે. ગેરરીતિ અટકાવવા કોલેજોને માટે નવી સૂચના જાહેર કરાઈ આ પ્રકારની ગેરરીતિઓ પણ પકડાઈ, રૂ. 2500થી 10 હજાર સુધીનો દંડ થયો વિદ્યાર્થીઓ આવી રીતે ચોરી કરતા હતા1 વિદ્યાર્થિનીએ વોશરૂમમાં જઈ મોબાઇલ અને ચેટજીપીટીનો ઉપયોગ કરીને કોડિંગના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતોય બહાર નીકળી વખતે પકડાઈ ગઈ હતી. આ ઘટના પરીક્ષા દરમિયાન સામે આવી હતી2 કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોબાઇલ લઈ આવ્યા હતા. જેઓ મોબાઇલની બ્રાઇટનેસ ડાઉન કરીને ગેલેરીમાંના પુસ્તકના ફોટોના જવાબ જોઈ લખતા હતા. જોકે, ઓચિંતા આવેલી સ્ક્વોડે તેમને પકડી પાડી ગેરરીતિનો કેસ નોંધી પરીક્ષા વિભાગને મોકલી આપ્યો હતો.3 એક વિદ્યાર્થિની એરબર્ડ પહેરીને પરીક્ષામાં બેઠી હતી. જેના વાળા લાંબા હોવાથી એરબર્ડ દેખાઈ રહ્યા ન હતા. દરમિયાન એરબર્ડથી કોઈ સાથે વાત કરી જવાબ લખી રહી હતી. ઓચિંતા જ સુપરવાઇઝરનું ધ્યાન તેની પર જતા તેને શંકા ગઈ હતી. જેથી તેની તપાસ કરતા એરબર્ડ જપ્ત કરી ગેરરીતિનો કેસ નોંધી પરીક્ષા વિભાગને મોકલી અપાયો હતો. આવી ચોરીમાં આ દંડ
સાઇબર ક્રાઈમના પડકારોને પહોંચી વળવા પ્રાથમિક શિક્ષણથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવો પડશે, એમ સાઇબર સિક્યુરિટી નિષ્ણાત ડો.રક્ષિત ટંડને કહ્યું હતું. યુપી પોલીસના સાઇબર સલાહકાર અને કેન્દ્રના ગૃહ વિભાગની સાઇબર સિક્યુરિટી સમિતિના સભ્ય ડૉ.ટંડન વડોદરા ફિક્કી ફ્લો આયોજિત ‘માસ્ટર ક્લાસ ઓન સાઇબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન’માં પોલીસ અધિકારી-કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાઇબર ક્રાઇમને પહોંચી વળવા શાળામાં પ્રાથમિક સ્તરેથી જ શિક્ષણ આપવું પડશેભાસ્કર:સાઇબર ક્રાઈમના કયા પડકાર છે?ડો. રક્ષિત ટંડન: સાઇબર માફિયા જુદી-જુદી રીતે ક્રાઈમ કરે છે. ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓટીપી ફ્રોડથી માંડી ફોન હેકનો સમાવેશ થાય છે. જેમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો ચાલુ છે. સરકાર નવા કાયદા-નિયંત્રણો લાવી રહી છે. કેવા ફેરફાર?સરકારે મોબાઇલ કંપનીઓને સૂચના આપી છે કે કોઈ SMS ઉપર પ્રકાર લખવો પડશે, જેવા કે પ્રમોશન, સર્વિસ, સરકારી અને ટ્રાન્જેક્શન જેવાં શબ્દ લખવા પડશે. ઠગાઈનો ભોગ બનેલાએ શું કરવું?1930 હેલ્પ લાઇન પર ફોન કરવો. અગાઉ 24 કલાકમાં ફરિયાદ કરવા કહેવાયું હતું, પણ હવે માફિયા નવી તરકીબો અજમાવે છે. 1 કલાકમાં જાણ કરાય તો ઠગાઇની 80 ટકા સુધી રકમ રિકવર કરી શકાય છે. સરકાર કેવાં પગલાં લઈ રહી છે?સરકાર ડેટા સિક્યુરિટીનું ખાસ ધ્યાન રાખે છે. જેમાં કંપની કે સંસ્થામાંથી ડેટા લીક ન થાય એવી સિસ્ટમ ઊભી કરવા કામ ચાલુ છે. ફોન કરનાર જેનું સિમ વાપરે છે તેનું નામ પ્રદર્શિત થાય એવી સિસ્ટમ ઊભી કરી છે. જેનો ટ્રાયલ સફળ રહ્યો છે. AIના આવવાથી ફાયદો કે નુકસાન?બંને પાસા છે. ચેટ જીપીટી સ્વીકારે છે કે, તેમની સિસ્ટમનો ઉપયોગ નકલી વીડિયો, ફોટા અને અવાજ બનાવવા કરાયો છે. AIથી ડેટા સહિતના સમય માગી લેતાં કામ ઝડપી થયા છે. આ અંગે શું અપીલ કરશોસાઇબર ક્રાઈમ સામે જાગૃતિ માટે પ્રાથમિક શિક્ષણથી વિષય સામેલ કરવો પડશે. ભોગ બનેલા માટે રિહેબિલિટેશન સેન્ટર કે કાઉન્સેલિંગ કરવું જોઈએ.
પાણી માટે રઝળપાટ:આજવાથી રાત્રે 11 વાગે પાણી ટાંકીઓમાં આવ્યું સાંજે વિતરણ ન કરાતાં 2 લાખ રહીશો અટવાયા
નિમેટાથી આજવા તરફ નાખેલી પાણીની લાઈનનું 48 કલાકની કામગીરી બાદ જોડાણ કરાયું છે. તે પછી મોડી રાત્રે શહેરની ટાંકીઓને પાણી મળ્યું હતું. જેથી સાંજના સમયે પૂર્વ વિસ્તારની ટાંકીના અંદાજિત 2 લાખ લોકોને પાણી મળ્યું ન હતું. જ્યારે પાલિકા પાસે સંગ્રહ કરાયેલા પાણીથી કેટલીક ટાંકી અને બુસ્ટરમાં અડધો કલાક વિતરણ કર્યું હતું. પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા 25 થી 27 નવેમ્બર સુધી નિમેટાથી આજવા તરફ નાખેલી લાઈનનું મેનીફોલ્ડ લગાવવા, વાલ્વ લગાવવાનું કામ કરાયું હતું. 182 કર્મીઓની ટીમે 48 કલાકમાં કામ પૂર્ણ કર્યું હતું. પાલિકાની જાહેરાત મુજબ 27મીએ સાંજે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે. સૂત્રો મુજબ આજવાથી મોડી રાત્રે 11 કલાકે પાણી આવશે, તેવી માહિતી મળી હતી. જેથી સાંજના ઝોનની ટાંકીઓમાં એક ઝોનમાં પાણી વિતરણ કરાયું નથી. પાણીના ખાનગી ટેન્કરનો ભાવ રૂા.1300 સુધી પહોંચ્યોશટ ટડાઉન બાદ પૂર્વ વિસ્તારમાં 50 લાખ લિટર પાણી વધુ મળશે. જોકે 2 દિવસ પાણી ન મળતાં ખાનગી ટેન્કરની માગ વધી હતી. જેથી ખાનગી ટેન્કરના ભાવ 1300 સુધી પહોંચ્યા હતા. જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ભાસ્કર ઇનસાઇડટાંકી પર ટેન્કરની કતારો, ફાયરબ્રિગેડમાં 3 દિવસનું વેઇટિંગઆજવામાં મેગા શટ ડાઉનને કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 15 લાખ લોકોને બે દિવસ સુધી પાણી મળ્યું નથી. ગુરુવારે સાંજે પણ પાણી વિતરણ ન કરાતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પૂર્વ વિસ્તારની ટાંકીઓ પર ફાયરબ્રિગેડ અને કોન્ટ્રાક્ટરની ટેન્કરોની લાંબી લાઇનો લાગી હતી. એક અંદાજ મુજબ એક દિવસમાં 146 ટેન્કરો નોંધાઈ છે. કુલ 300 ફેરાને નોંધાતાં તેને પહોંચી વળવા 3 દિવસનું વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે.
બગીચાઓમાં સુરક્ષાની બાબતને ધ્યાને રાખી કમાટીબાગ અને ગોત્રી ગાર્ડન સહિત 4 બગીચામાં સહેલાણીઓની નોંધણી શરૂ કરાઈ છે. જોકે તેનો વિરોધ થઈ રહ્યો છે અને આ પ્રક્રિયા બિનઉપયોગી હોવાનો મત રજૂ કરાઈ રહ્યો છે. કમાટીબાગમાં સહેલાણીઓ માત્ર 2 અક્ષરનાં નામ લખે છે તો ગોત્રી ગાર્ડનમાં મોબાઈલ નંબર 9 આંકડાનો લખે છે. જેની કોઈ ખરાઇ કરાતી નથી. કમાટીબાગમાં 4 ગેટ પર રજિસ્ટર મુકાયાં છે, જેમાં સહેલાણી પાસે નોંધણી કરાવાય છે. તેઓ જાતે એન્ટ્રી કરતા હોવાથી રજિસ્ટરમાં માત્ર 2 અક્ષરનાં નામ લખે છે. તેટલું જ નહીં મોબાઈલ નંબર ન ઉકેલાય તેવી રીતે લખે છે, જેની ખરાઇ કરાતી નથી. બીજી તરફ ગોત્રી ગાર્ડનમાં 2 અક્ષરનાં નામ અને મોબાઈલ નંબરમાં 9 આંકડા લખ્યા હતા. ગોત્રીમાં વાહન પાર્કિંગ બાદ એન્ટ્રી કરાય છે, જેથી લોકો વાહન પાર્ક કરી જતા રહે છે, જેની નોંધણી થતી નથી. ગુરુવારે કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ગ્રૂપે સ્થાયી ચેરમેનને આવેદન આપી નારાજગી ઠાલવી છે. માત્ર નામ, સમય તથા સહી કરવાની હોવાથી લોકો આ પ્રકિયાને અધૂરી અને બિનઉપયોગી ગણાવી રહ્યા છે. ગોત્રી ગાર્ડન : ખોટું નામ લખે તો કેવી રીતે ચકાસાય,બાયોમેટ્રિક સિસ્ટમ જરૂરીગાર્ડનમાં આવનારા લોકોની એન્ટ્રી કરાવવી તે સારી વાત છે. ગોત્રી ગાર્ડનમાં પાર્કિંગની વ્યવસ્થા અંદર છે, જ્યાં ચેકિંગ કરાતું નથી. ત્યાં કોઇ વાહનમાં કશું મૂકીને જતું રહે તો તેની ચકાસણી કેવી રીતે થશે? > તુષારસિંહ મહીડા, સહેલાણી હું 17 વર્ષથી સાંજે ચાલવા આવું છું. નોંધણીની પ્રક્રિયા બિનઉપયોગી છે. અસામાજિક તત્ત્વો ખોટું નામ લખશે તો ખરાઈ કોણ કરશે. સીસીટીવી સાથે પોલીસે સિવિલ ડ્રેસમાં તૈનાત રહેવું જોઈએ. > હર્ષદ રાજપૂત, ઈવનિંગ વોકર્સ કમાટીબાગ : ફોટો પાડી, આઇડી ચેક કરવા સાથે સીસીટીવી વધારવા જોઈએઆ પ્રક્રિયાનો હેતુ સિદ્ધ થતો નથી. કારણ કે, ચોપડામાં AKF અને CUD જેવાં નામો લખેલાં છે. જ્યારે મોબાઈલ નંબરમાં 9 આંકડાના લખ્યા છે. પાલિકાએ ફોટા પાડી, આઇડી કાર્ડ ચેક કરી પ્રવેશ આપવો જોઈએ. > દીપક મહેતા, મોર્નિંગ વોકર સુરક્ષાની દૃષ્ટિએ સારી છે. જોકે રજિસ્ટરમાં માત્ર નામ-સહીથી શું ફરક પડશે? કોઇ પણ ગમે તે નામ લખી નાખે તેની ચકાસણી કેવી રીતે થાય. બાયોમેટ્રિક સિસ્ટમ રાખવી જોઇએ, જેનાથી વ્યક્તિ કોણ છે તેની ખબર પડે. > હર્ષુલ ભટ્ટ, સહેલાણી
આગામી વર્ષની વિમન્સ પ્રિમિયર લીગની ચોથી આવૃત્તિની કેટલીક મેચોની યજમાની વડોદરાને મળી છે. આગામી વર્ષે 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન WPL યોજાશે, જેની કેટલીક મેચો માટે કોટંબી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ટુર્નામેન્ટની ફાઇનલ 5મી ફેબ્રુઆરીએ કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. વુમન્સ ક્રિકેટની હાઇ પ્રોફાઇલ આ ટુર્નામેન્ટની હરાજીમાં બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની 3 ખેલાડીઓ શીખા પાંડે યુપી વોરિયર્સ થકી રૂા.2.40 કરોડમાં, રાધા યાદવ રોયલ ચેલેન્જ બેંગ્લુરુ થકી રૂા.65 લાખમાં અને યાસ્તિકા ભાટિયા ગુજરાત જાયન્ટ થકી રૂા.50 લાખ મેળવશે. જ્યારે કોટંબી સ્ટેડિયમમાં 5 સુધીની મેચો રમાય તેવી શક્યતા છે. બીસીએના સીઇઓ સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ઓક્શનમાં WPLના સીઇઓ જયેશ જ્યોર્જે આ જાહેરાત કરી હતી. વડોદરાની પ્રજ્ઞા રાવત, હની પટેલ અને નૃપા વ્યાસ ઓક્શનમાં હજી પેન્ડિંગ પ્લેયર્સ છે. તેઓને પણ રમતા નિહાળી શકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ઉપરાંત મુંબઇ, લખનઉ અને બેંગ્લોરમાં પણ મેચો યોજાવાની છે. શીખા પાંડેઆઇએએફની પૂર્વ એર ટ્રાફિક કંટ્રોલર, રાધાએ ક્રિકેટ માટે મુંબઇ છોડ્યુંબીસીએની જે 3 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે, તેમાં શીખા પાંડે આઇએએફની પૂર્વ એર ટ્રાફિક કંટ્રોલર છે. જ્યારે રાધા યાદવનો પરિવાર ક્રિકેટ માટે મુંબઇ છોડીને વડોદરા આવ્યો હતો. રાધા યાદવ : ડાબોડી સ્પીનર આ વર્ષે યોજાયેલા મહિલા વિશ્વકપની ટીમની વિજેતા ટીમનો હિસ્સો હતી. વનડેમાં 13 અને ટી-20માં 103 વિકેટ લીધી છે. શીખા પાંડે : રાઇટ આર્મ મિડિયમ પેસ બોલર મિડલ ઓર્ડર બેટર.55 વન ડેમાં 75 અને 62 ટી-20માં 43 વિકેટ. વન-ડે અને ટી-20ટમાં 700થી વધુ રન કર્યા છે. યાસ્તિકા ભાટિયા : વિકેટ કીપર-બેટર વન ડે-ટી-20માં 880 રન, વન ડે વિકેટ કીપિંગમાં 28 શિકાર, 19 ટી-20માં 18 સ્ટમ્પિંગ અને વિકેટ પાછળ 19 કેચ. મેન્સ વર્લ્ડ કપ અગાઉ વુમન્સ પ્રિમિયર લીગની મેચ પૂરી થશેબીસીએ દ્વારા આ ટુર્નામેન્ટની મેચો ઉપરાંત આગામી 11મી જાન્યુઆરીએ કોટંબી ખાતે યોજાનાર ભારત-ન્યૂઝીલેન્ડ મેચના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મેન્સ વર્લ્ડ કપનો પ્રારંભ 7મી ફેબ્રુઆરીએ થઇ રહ્યો છે. એ અગાઉ આ WPLની મેચો પૂરી થઇ જશે. કોટંબીના મેદાન પર અગાઉ વિમેન્સ ભારત-વેસ્ટ ઇન્ડિઝની 3 મેચની સિરીઝ, ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની 6 મેચો રમાઇ હતી. ગત વર્ષે WPLની ત્રીજી આવૃત્તિની 6 મેચો પણ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. જેમાં સ્ટેડિયમ પર સરેરાશ 22 હજાર પ્રેક્ષકોએ દરેક મેચનો રોમાંચ માણ્યો હતો.
ઘરફોડ ચોરીનો બનાવ:ઉચાપાનમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો દાગીના-રોકડ ઉઠાવી ફરાર
બોડેલી તાલુકાના ઉચાપાન ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ બંધ મકાનમાંથી ત્રણ તિજોરી તોડી લાખોની માલમત્તા ચોરી કરી રવાના થઇ ગયા હતાં. ઘટના બાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. કોઇ જાણભેદુ તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ ને ચોરી ને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. તસ્કરો રૂપિયા 6,54,829 રૂપિયાના સોના ચાંદી ના ઘરેણા અને રોકડ રકમની ચોરી થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે છોટાઉદેપુ જિલ્લા ના બોડેલી તાલુકાના ઉચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં રહેતા શેખ જમીલભાઈ ઇસ્માઈલભાઈ હાડવૈદના મકાન પર મંગળવારે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર પાલેજ ખાતે દરગાહ પર માનતા પૂરી કરવા ગયો હતો. ત્યારે તસ્કરોએ રેકી કર્યા બાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાં રાખેલી ત્રણ તિજોરી તીક્ષ્ણ હથિયારો વડે તોડી, તસ્કરો સોનાનો દોરો, એરિંગ, સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના અને રોકડ રકમ સહિત લાખોની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. મકાન માલિકની ફરિયાદ બાદ બોડેલી પોલીસે ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ડોગ ઘરના પાછળના બારણેથી સુગંધ લઈને પાછળના ખેતરમાંથી પસાર થઈ ઉચાપાન- ડુંગરવાંટ રોડ સુધી ગયો હતો અને ત્યાં જ અટકી ગયો. જેના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તસ્કરો ત્યાંથી કોઈ વાહનમાં બેસીને આગળ ભાગ્યાં હશે.
અકસ્માત સર્જાયો:લીંબડીયા ચોકડી પાસે નશામાં ચૂર શિક્ષકની કારે બાઇકને અડફેટે લીધી
લીંબડીયા ચોકડી પર એક શિક્ષકે નશારેલી હાલત કાર ચલાવીને બાઇકને અડફેટે લેતા ચાલકને ઇજાઓ કરતાં સ્થાનિકોએ શિક્ષકને મેથી પાક ચખાડ્યો છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. મહીસાગર જિલ્લાના લીંબડીયા ચોકડી પર ગત રાત્રીના સમયે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઈક પર પોતાના ઘરે જતો હતો. તે દરમ્યાન એક સફેદ કલરની કાર પુરપાટ આવીને ઉભેલ બાઈક પર સવાર યુવકને અડફેટે લઇને દુકાન આગળ જ કાર ઘૂસી ગઈ હતી. લીબડીયા ચોકડી પર બનેલ ઘટનાને જોઈ હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કાર ચાલકને નીચે ઉતારતા જ લોકોને ખબર પડી ગઈ કે કાર ચાલક ચીક્કાર નશામાં અકસ્માત કર્યો છે. તે જોઈ કાર ચાલક શિક્ષકને લોકોએ મેથીપાક ચખાડ્યો. બાદમાં કારમાં તપાસ કરતા દારૂની બોટલ હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા બાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય નાયકની ધરપકડ કરી ક્રેનની મદદથી કારને બહાર કાઢી પોલીસ મથકે લઇ જઈ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
1000 લોકો આપમાં જોડાયાં:સંતરામપુરમાં આમ આદમી પાર્ટીની “ગુજરાત જોડો જનસભા” યોજાઈ
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત “ગુજરાત જોડો જનસભા” ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ હતી. આ જનસભામાં 15 હજારથી વધુ જનસમૂહ ધારાસભ્ય ચૈતર વસાવા ને સાંભળવા માટે લોકો ઉમટી પડયા હતા. મહીસાગર અને દાહોદ જિલ્લાના તેમજ સંતરામપુર, કડાણા અને નવીન ગોધર તાલુકા સ્તરના 1000 થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીમાં ખેસ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ના હસતે ધારણ કરીને આપ માજોડાયેલ. જેમાં ભંડારા ગામના યુવાનો પણ જોડાયેલ હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન આપ પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર, લાવવા ને લોકોની સમસ્યાઓ અને ખેડુતોના સળગતા મુદ્દાઓ સાથે ભાજપ પર આકરા પ્રહારો કરીને આગામી તાલુકા જીલ્લા પંચાયતની ચુટણીઓમા આપના ઉમેદવારોને જીતાડીને ગુજરાતમાં સત્તા પરિવતૅન ની લહેર લાવવા અપીલ કરીને આગામી વિધાનસભા ની ચુટણીમાં પણ આપ ને જીતાડી ને સત્તાના પરિવતૅનની લેહરમા જોડાવા અનુરોધ કરેલ હતો. આ કાર્યક્રમમાં ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજા , બ્રિજરાજ સોલંકી, બાબુ ડામોર, ડૉ. કલ્પેશ સંગાડા સાથે ગામજનો, આસપાસના રહીશો,મહીલાઓ. યુવાનો વગેરે જોડાયા હતાં.
પોલીસની કાર્યવાહી:મહીસાગરમાં 3 માસમાં 734 બૂટલેગરો સાથે દોઢ કરોડનો વિદેશી દારૂ ઝડપી પડાયો
મહિસાગર જિલ્લામાં જે રીતે છેલ્લા ત્રણ માસમાં પોલીસ દ્વારા જે દારૂ ની હેરાફેરી પર લગામ લગાવી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લામાં પોલીસે બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી રહી છે. જિલ્લા પોલીસ વડા શફી હશન માર્ગદર્શન હેઠળ મહીસાગર પોલીસે ગુજરાતને જોડતી રાજસ્થાન બોર્ડર તમામ ચેકપોસ્ટ પર પોલીસ તહેનાત કરી છે અને શંકાસ્પદોને દારૂ સાથે ઝડપી જેલ ભેગા કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામા મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ ઓ જી પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પકડ બુટલેગર ઉપર વધતી ગઈ ત્યારે છેલ્લા ત્રણ મહિના ના આંકડા પર નજર કરીએ તો આ દરમિયાન 87 વાહન સાથે 734 બૂટલેગરો ને ઝડપી કુલ 646 કેસ કરવામાં આવ્યા છે.જેમા 45,937 બોટલો મળી દોઢ કરોડથી પણ વધુનો દારૂનો જથ્થો મળી 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ભાસ્કર ઇનસાઈડસૌથી સુરક્ષિત નદીમાં બોટ દ્વારા દારૂની હેરાફેરી મહીસાગર પોલીસની ચેકિંગ વધતા હવે બૂટલેગરો એ પોલીસથી બચવા નવા નવા રસ્તાઓ અપનાવી લીધા છે. હવે બોર્ડર થી લક્ઝુરીયસ કારમાં જિલ્લામા દારૂ પ્રવેશવામાં આવે છે.અને તેને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી બોર્ડર પાર કરાવવામાં આવે છે. આ ઉપરાંત મહીસાગર સૌથી સુરક્ષિત નદીમાં બોટ દ્વારા પણ દારૂની હેરાફેરી કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં દારૂનો બોટમાં રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેનાથી પણ વધારે ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ઉપર દારૂમાં રાખીને બોર્ડર ક્રોસ કરાવવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જિલ્લામા એક ટોળકી સક્રિય થઈ હોવાનું ચર્ચામાં છે. વિક્રમ માલીવાડ નામ વોન્ટેડ બુટલેગર અને તેના માણસો જે કડાણા તાલુકાની બોર્ડર પર આવેલ પુનાવાડા ચોકડીથી ડીટવાસ કડાણા માર્ગ પર આવતા જતા વાહનો રોકી પોલીસનો માણસ હોવાનો રોફ જમાવી વાહન ચેકીંગ કરી મુસાફરોને હેરાન કરતાં હોવાની બુમો સાંભળવા મળી રહી છે.
બાંડીબાર વિસ્તારમાં આવેલ દુધિયા રોડ પર હડફ નદીના કિનારે તાજા કાપેલા પશુના અવશેષો મળી આવતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મોટી બાંડીબાર અને નાની બાંડીબારના સીમાડા પાસે હડફ નદીના પુલ નીચે આવેલા નાળા પાસેથી આ અવશેષો મળી આવતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અવારનવાર અજાણ્યા ઇસમો દ્વારા આવું કૃત્ય કરવામાં આવે છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હોઈ શકે તે અંગે ગામના લોકોમાં ગહન ચર્ચાઓ ચાલી રહી છે. આસપાસના ગામના લોકોએ તેમનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે અમારા ઢોર-ઢાંકરને અમારા જીવની જેમ સાચવીએ છીએ. જો પશુનું મૃત્યુ થાય તો અમે ખાડો ખોદીને તેને દફનાવીએ છીએ. સ્થાનિક લોકોની મુખ્ય માંગ છે કે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક આ અવશેષો કયા પશુના છે તેની તપાસ કરાવે. તેમજ આ અમાનવીય અને ગેરકાયદે કૃત્ય કોના દ્વારા આચરવામાં આવ્યું છે તેની સઘન તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી તેમને યોગ્ય સજા કરવામાં આવે.સ્થાનિક લોકોએ તંત્રને આ બાબતની ગંભીર નોંધ લેવા અને રાત્રીના વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા માગ છે. ભાસ્કર ઇનસાઈડબકરાની કતલ બાદ ફેંકાયેલા અવશેષોઆ અવશેષો બકરાની કતલ કર્યા બાદ ફેંકાયેલા છે.ગેરકાયદેસર કતલ કરનારાઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પશુનો જીવ લીધા બાદ તેના બિનઉપયોગી અવશેષો ખુલ્લેઆમ ફેંકી દેવાય છે. જે સીધી રીતે કાયદાના ભંગ અને ગંભીર પ્રદૂષણ તરફ ઈશારો કરે છે.
નમસ્તે, ગઈ કાલના મુખ્ય સમાચાર ભાજપના આરોપ સાથે જોડાયેલા રહ્યા. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં ગૃહ યુદ્ધ કરાવવા માંગે છે. બીજા મોટા સમાચાર આસામને લઈને રહ્યા. અહીં એકથી વધુ લગ્ન કરવા બદલ 10 વર્ષ સુધીની જેલ થઈ શકશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપીમાં સ્થિત શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. આ કાર્યક્રમ પછી, તેઓ ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. 2. છત્તીસગઢના રાયપુરમાં ત્રણ દિવસીય ડીજીપી-આઇજીપી (પોલીસ વડાઓ)ની કોન્ફરન્સ શરૂ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામેલ થશે કાલના મોટા સમાચારો 1. ભાજપે કહ્યું- દેશમાં ગૃહ યુદ્ધ કરાવવાનું રાહુલનું કાવતરું:કોંગ્રેસ સાથે સંકળાયેલા X એકાઉન્ટ્સનું લોકેશન પાકિસ્તાન-બાંગ્લાદેશમાં; કોંગ્રેસે આરોપો નકાર્યા ભાજપે ગુરુવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વિદેશી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ભારતમાં ગૃહયુદ્ધ ભડકાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ એકાઉન્ટ્સ પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, સિંગાપોર અને અમેરિકા સહિત અન્ય દેશોમાંથી ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી અને ડાબેરી નેતાઓના ઇશારે ભારતની છબી ખરાબ કરવામાં આવી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું, અશ્લીલ કન્ટેન્ટની જવાબદારી કોઈએ લેવી પડશે:ગંદું કન્ટેન્ટ રોકાય ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે; કેન્દ્ર 4 અઠવાડિયાંમાં નિયમ બનાવે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સોશિયલ મીડિયાના કન્ટેન્ટ પર સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતાં એડલ્ટ કન્ટેન્ટ માટે કોઈએ કોઈની જવાબદારી લેવી જ પડશે. સુપ્રીમ કોર્ટે આજે આ ટિપ્પણી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સાથે જોડાયેલા કેસમાં કરી. આ શોના વાંધાજનક કન્ટેન્ટ પર વિવાદ થયા પછી રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈના જેવા ઘણા યુટ્યૂબર્સને ચર્ચામાં લાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ગંદું (અશ્લીલ) કન્ટેન્ટ રોકવામાં આવે છે ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ લે છે. કેન્દ્ર સરકાર આ અંગે 4 અઠવાડિયાંમાં નિયમો બનાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હી બ્લાસ્ટ: મુઝમ્મિલ બોલ્યો- ડૉ. શાહીન ગર્લફ્રેન્ડ નહીં, પત્ની છે:અલ ફલાહ નજીક મસ્જિદમાં નિકાહ થયા; મહિલાએ જૈશ માટે ₹28 લાખ એકઠા કર્યા હતા દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ અહેમદે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની પૂછપરછમાં દાવો કર્યો છે કે ડો. શાહીન સઈદ તેની ગર્લફ્રેન્ડ નહીં, પરંતુ પત્ની છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આતંકવાદી મોડ્યુલમાં મેડમ સર્જન તરીકે જાણીતી ડો. શાહીન મુઝમ્મિલની પ્રેમિકા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મુઝમ્મિલે સપ્ટેમ્બર 2023માં ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પાસેની એક મસ્જિદમાં શાહીન સાથે નિકાહ કર્યા હતા. શરિયા કાયદા હેઠળ નિકાહ માટે ₹5-6 હજારના મહેર પર સહમતિ બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એકથી વધુ લગ્ન કર્યા તો 10 વર્ષની જેલ:સ્થાનિક ચૂંટણી લડી નહીં શકે, સરકારી નોકરી નહીં મળે; આસામમાં પોલિગામી બિલ પસાર આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા આસામ પ્રોહિબિશન ઓફ પોલિગેમી બિલ, 2025 પસાર કર્યું છે. આ કાયદો છઠ્ઠા અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ વર્ગને લાગુ પડશે નહીં. સરકારના મતે, આ વિસ્તારોની સ્થાનિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. ગુરુવારે પસાર થયેલા બિલ મુજબ, જો જીવનસાથી જીવિત હોય અને તેનાથી કાયદેસર રીતે છૂટાછેડા ન થયા હોય અને તે અન્ય કોઈ સાથે લગ્ન કરે તો તે ગુનો ગણાશે. તેની સજા સાત વર્ષ સુધીની જેલ અને દંડ છે. આ સાથે પીડિતાને 1.40 લાખ રૂપિયા વળતર આપવાની પણ જોગવાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યાદોમાં ધર્મેન્દ્ર! સોનુ નિગમના સૂરથી શ્રદ્ધાંજલિ:'હી-મેન'ની યાદમાં પરિવારે પ્રાર્થના સભાનું આયોજન કર્યું, ભીની આંખે સેલેબ્સ પહોંચ્યાં સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ આજે ગુરુવારે સાંજે તેમની યાદમાં પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં તેમની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભાનું નામ 'સેલિબ્રેશન ઓફ લાઇફ' રાખવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ચાલનારી આ પ્રાર્થના સભામાં બોલિવૂડ સિંગર સોનૂ નિગમ ધર્મેન્દ્રના ગીતો પર પરફોર્મન્સ આપશે. પ્રાર્થના સભામાં એક્ટરનો પરિવાર, મિત્રો અને બોલિવૂડના ઘણાં સેલેબ્સ ઉપસ્થિત છે. પ્રેયર મીટને પગલે હોટલ તાજ લેન્ડ્સમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 2 દિવસમાં 120 કરોડનાં 100 મકાન-4 ધાર્મિક દબાણ દૂર કરાયાં:ભાવનગરમાં નવાપરા બાદ ફૂલસરમાં મેગા ડિમોલિશન, કુલ 19,500 ચોમીથી વધુ જગ્યા ખાલી કરાઈ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જ્યાં અકવાડા મદરેસા બાદ ગઈકાલે 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયાં બાદ આજે ફૂલસરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વ પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 60 કરોડની કિંમતની 16,500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે 70થી વધુ કાચાં-પાકાં મકાનો અને 3 ધાર્મિક સ્થાન સહિતનાં દબાણો દૂર કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસેના એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો મળી 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પોલીસની સામે જ ભત્રીજાએ બચકું ભરી કાકાનો કાન કાપી નાખ્યો:પીડિત હાથમાં કાન લઈ હોસ્પિટલ પહોંચ્યો; કૌટુંબિક ઝઘડામાં બનેલી ચોંકાવનારી ઘટના નવસારી મહિલા પોલીસ મથકે કૌટુંબિક ઝઘડામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પારિવારિક ઝઘડાના સમાધાન માટે બોલાવવામાં આવેલા બે પક્ષો વચ્ચે પોલીસની હાજરીમાં જ મારામારી થઈ હતી. નિવેદન આપવા આવેલા કાકા સંગમ તિવારી પર તેમના ભત્રીજાએ હુમલો કર્યો હતો અને તેમનો કાન કરડી કાપી નાખ્યો હતો, જેના કારણે કાન છૂટો પડી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ફરીદાબાદમાં ડો. મુઝમ્મિલના વધુ 2 ઠેકાણાઓનો ખુલાસો:ભૂતપૂર્વ સરપંચ પાસેથી મકાન ભાડે લીધું, કહ્યું- કાશ્મીરી ફળ રાખીશું; શાહીન સાથે આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અફઘાન શરણાર્થીએ વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કર્યો:2 નેશનલ ગાર્ડ્સની હાલત ગંભીર, હુમલાખોરની ધરપકડ; ટ્રમ્પ બોલ્યા, આની ભારે કિંમત ચૂકવવી પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 22 દિવસમાં 7 રાજ્યોમાં 25 BLOનાં મોત:મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 9 લોકોના જીવ ગયા, યુપી-ગુજરાતમાં 4-4 મોત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જર્મનીએ કહ્યું- રશિયા યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી:દેશનું સંરક્ષણ બજેટ વધારવાની જાહેરાત; 2029 સુધીમાં પુતિન નાટો પર હુમલો કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹2,758 મોંઘી થઈને ₹1.62 લાખ પ્રતિ કિલોએ પહોંચી:સોનું ₹224 ઘટીને ₹1.26 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવ્યું, જુઓ તમારા શહેરનો લેટેસ્ટ ભાવ વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહ ગોચર :આજથી શનિ મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરશે; શેરબજારમાં સ્થિરતા આવશે, વૃષભ, મકર અને કન્યા રાશિ માટે લાભકારી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે વેપારીઓ પૂતળાના અંતિમ સંસ્કાર કરતા પકડાયા ઉત્તર પ્રદેશના હાપુડમાં, ચાર યુવાનો પ્લાસ્ટિકના પૂતળાના અગ્નિસંસ્કાર કરતા પકડાયા. સ્મશાનગૃહના એક કર્મચારીને શંકા ગઈ અને તેણે પોલીસને ફોન કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીના બે કાપડ વેપારીઓ મૃત્યુનું નાટક કરીને 50 લાખ રૂપિયા વીમાના પૈસા મેળવવા માંગતા હતા. આ જ કારણ હતું કે તેઓએ આ કાવતરું ઘડ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'આ રિક્ષાની અંદર જ અમારું ઘર છે':ચંડોળા તળાવમાં રહેતા લોકો ઈસનપુર તળાવમાં રહેતા હતા, છ મહિનામાં બીજું ઘર છીનવાયું; બેઘરનાં આંસુ ઠંડીમાં સુકાય જાય છે... 2. પંઢેર અને કોલી આઝાદ, નિઠારીમાં 16 બાળકો-છોકરીઓનો હત્યારો કોણ?:હત્યાની કબૂલાત, તપાસ કોર્ટે નકારી; પોલીસની ત્રણ ભૂલો મોંઘી સાબિત થઈ 3. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ...તો ગુજરાતીઓ દેશને મેડલ અપાવશે':ગુજરાતમાં ટુર્નામેન્ટથી ભારતને શું ફાયદો થશે? ગોલ્ડ મેડલિસ્ટ હરમીત દેસાઈ અને માના પટેલ પાસેથી જાણો કોમનવેલ્થની ઇનસાઇડ વાતો 4. આજનું એક્સપ્લેનર:શું પલાશની 'ફ્લર્ટિંગ ચેટ' અસલી છે? મેરી ડી'કોસ્ટા કોણ છે, જેનો દાવો- મેં ચેટ વાઇરલ કરી હતી, શું હવે લગ્ન થશે? 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : કાશ્મીરમાં પોસ્ટરો લાગ્યાં ‘બહારના લોકોને આશ્રય ન આપો’:ત્રણ એજન્ટ, પાંચ અધિકારી, એક જવાબ – ‘બિન-કાશ્મીરીઓ જમીન ખરીદી શકતા નથી’, સ્ટિંગમાં ઘટસ્ફોટ 6. 10 વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો પ્લાન:કોમનવેલ્થ પછી ઓલિમ્પિક યોજવા અમદાવાદ, ગાંધીનગરનાં 22 સ્થળનો સર્વે થયો; ઐતિહાસિક યજમાનીની તૈયારી 7. બ્લેકબોર્ડ: ઈન્ટરનેશનલ ટીટી-પ્લેયરની પત્ની છું:ઘરેણાં વેચીને ઘર ચલાવું છું, પતિના મૃત્યુ પછી નોકરીનું વચન આપ્યું, ચાર વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહી છું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન જાતકોને સામાજિક સમારંભમાં હાજરીથી પ્રતિષ્ઠા- માન-સન્માન મળશે; કન્યા જાતકોને અટકેલાં કાર્યમાં ગતિ આવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
પાણી માટે રઝળપાટ:શહેરામાં શિયાળામાં પીવાના પાણીનો કકળાટ
હાલ જ ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ છે અને સમગ્ર ગુજરાતમાં પર્યાપ્ત વરસાદ થયો છે. ત્યારે શહેરાના પાનમ જળાશયમાં પણ પાણીની પૂરતા પ્રમાણમાં આવક થઈ છે. લગભગ 2 વર્ષ પાણી ચાલે એટલો જળસંગ્રહ છે. શહેરા નગરપાલિકા વિસ્તારમાં પાનમ જળાશયમાંથી જ પાણી આપવામાં આવે છે પાલિકા દ્વારા રોજીંદુ પાણી આપવામાં આવતું હતું પણ છેલ્લા કેટલાક સમયથી આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. આમતો કેટલીક વખત 2 દિવસ સુધી પણ પાણી આપવામાં આવતું નથી. જાણે પાલિકામાં કોઈ રણી ધણી ન હોય એ રીતનું શાસન ચાલી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ જવાબ આપવામાંથી બચી રહ્યા છે. ત્યારે પ્રજામાં પાણી સમયસર અને વધુ પ્રવાહ સાથે મળે ભલે આંતરે દિવસે આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. તો શું આનો કોઈ પરિણામ આવશે કે પછી આજ પરિસ્થિતિ યથાવત રહેશે! પાણીનો પ્રવાહ ઓછો હોવાથી નિકાલ લાવવો જરૂરી પાલિકા દ્વારા પાણી આંતરે દિવસે આપવામાં આવે છે. જ્યારે પહેલા પાણી રોજે આપવામાં આવતું હતું. આંતરે દિવસે કર્યા પછી પણ પાણી ઘણીવાર 2 દિવસે આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં પ્રવાહ ન મળતાં પાણી ભરાતું નથી. જ્યારે કેટલીક જગ્યાએ લોકો મોટરથી પાણી ચડાવે છે એટલે પ્રવાહ ઓછો થતા પણ પાણી ભરાતું નથી. તો આનો ચોક્કસ નિકાલ પાલિકાએ લાવવો જોઈએ એવી આશા રાખીએ છીએ : અરવિંદભાઈ પટેલ, સ્થાનિક
લોકાર્પણ:ગોધરા પાલિકા પાસેની નવીન પાણીની ટાંકી અને સંપનું લોકાર્પણ કરાયું
ગોધરામાં 1.80 કરોડના ખર્ચે 10 લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી તેમજ 12 લાખ લિટર ક્ષમતાવાળો સંપ તૈયાર કરાયો છે. આ બંને સુવિધાઓનું લોકાર્પણ ધારાસભ્ય રાઉલજીના હસ્તે કરાયું હતું. નવી ટાંકી અને સંપના લોકાર્પણ સાથે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાને રાહત મળશે. લોકાપર્ણમાં સભ્યો અને શહેરીજનો હાજર ન રહેતા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે કામ એવું કરો કે લોકો ફરિયાદ ના કરે પરંતુ ફરી યાદ કરે,સરકાર કરોડોના ખર્ચે વિકાસના કામો અને લોકોની સુખાકારી માટેના કામો કરે છે.
પરિણીતાને ત્રાસ અપાયો:રાત્રે ઘૂંઘટ કેમ નથી કરતી, વાળ ખુલ્લા રાખે છે કહી પરિણીતાને ત્રાસ
દાહોદના ગોદી રોડ પર આવેલા પશુપતિનાથ નગરની રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય પરિણીતા જ્યોતિબેન ઉર્ફે રીન્કુબેન ધનપાલસિંહ ચૌહાણે પતિ ધનપાલસિંહ અને સાસરિયાં વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનાર જ્યોતિબેનને લગ્નના માત્ર બે માસ બાદ જ ત્રાસ શરૂ થયો હતો. પતિ ધનપાલસિંહ દારૂના નશામાં આવી તને ઘરકામ નથી આવડતું, મારે તને રાખવી નથી, બીજી પત્ની લાવવી છે તેમ કહી ગાળો બોલી મારકૂટ કરતો હતો. જ્યારે તેમણે સસરાને વાત કરી, તો સસરાએ પણ મારો છોકરો સારો છે, તું જ ખરાબ છે કહીને પુત્રનો પક્ષ લીધો હતો અને ચા ફેંકી દેતા. સાસરિયાંએ પહેરવેશ બાબતે પણ ત્રાસ આપતાં કહ્યું તું સાડી નથી પહેરતી, બુરખો પહેરે તો સારી લાગે અને ખાસ કરીનેરાત્રે તું ઘૂંઘટ કરીને કેમ સૂતી નથી, વાળ ખુલ્લા રાખીને સૂવે છે જેવા મેણાં મારતા હતા. આ ઉપરાંત પિયરમાંથી સોનાના દાગીના લાવવા માટે દબાણ કરી મેણાં-ટોણાં મારતા હતા. દિયર અને નણંદ પણ આ ત્રાસમાં સામેલ હતા. પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી જ્યોતિબેને દાહોદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાહનોની હરાજી:દાહોદ RTO કચેરી ખાતે ડિટેઇન કરાયેલા 17 વાહનોની હરાજી કરાશે
એ.આર. ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડિટેઇન કરાયેલા કુલ 17 મોટર વાહનો જેમાં મેક્સી, ગુડ્સ કેરિયર અને બસ/ટાટા મેજિકની હરાજી હાથ ધરવામાં આવનાર છે. વાહનો જોવાનો સમયગાળો 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર અને બંધ કવરમાં બીડ રજૂ કરવાની છેલ્લી તા.8 ડિસેમ્બર રાખી છે. તા.9 ડિસેમ્બર અને સમય બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાખ્યો છે.હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે ₹500ની નોન-રિ ફંડેબલ ફીનો અર્નેસ્ટ મની ડિપોઝિટનો ડીડી, અને જરૂરી દસ્તાવેજો પાનકાર્ડ, આધારકાર્ડ, સરનામાનો પુરાવો બંધ કવરમાં રજૂ કરવાના રહેશે. EMD અને ફીનો DD સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દાહોદનો રહેશે. વધુ માહિતી માટે રમેશભાઇ ભાભોરનો સંપર્ક કરવા આરટીઓ સી.ડી પટેલે જણાવ્યુ છે. વાહન નંબર - અપસેટ પ્રાઇઝ
દેવગઢ બારિયામાં પૂર્વ પ્રમુખે ''બે બાળકો'' સંબંધિત કાયદાના ઉલ્લંઘન બદલ છ સુધરાઇ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વિકાસ કમિશ્નર, કલેક્ટર અને પ્રાંત અધિકારીને કરતાં ખળભળાટ મચી ગયો છે. દેવગઢ બારિયાના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઇ કલાલે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે, છ સુધરાઇ સભ્યોના બાળકો અને તેમની જન્મતારીખની આધાર-પુરાવા સહિત ઘનિષ્ઠ ચકાસણી થવી જરૂરી છે. આ સભ્યોના બાળકોની અને તે બાળકોની જન્મત તારીખની તપાસ થવી જરૂરી છે. તેઓના બાળકો અને જન્મની તારીખની વિગતની આધાર પુરાવા સહિતની ઘનિષ્ઠ ચકાસણી કરવી જરૂરી છે. જો આ સભ્યોને કાયદામાં દર્શાવેલ તારીખ 2005ના સુધારાની તારીખ બાદ બાળકોની કુલ સંખ્યા બે કરતાં વધી હોય તો તેઓને સભ્ય પદેથી ગેરલાયક ઠરાવી દૂર કરવાનો તેમજ ખોટી માહિતી રજૂ કરવા બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો ન્યાયી હુકમ કરવામાં આવે તેવી માગણી કરી છે. કયા સભ્યોના નામનો ઉલ્લેખ .
બાળકના જીવન સાથે ચેડાં:મુનપુર પીએચસીમાં બાળકને એક્સપાયર ડેટની દવા આપી
કડાણા તાલુકાનીમુનપુર પીએચસી કેન્દ્રમાં ઘાસવાડા ગામના દોઢ વર્ષના નાના બાળકની સારવાર કરવા માટે પરિવાર ગયો હતો. ત્યારે અધિકારીએ શરદી ખાસીની 3 માસ અગાઉ એક્સપાયર થઇ ગયેલી દવા આપી બાળકના આરોગ્ય સાથે ચેડા કર્યા હતાં. આ બાબતે કડાણા સરકારી હોસ્પિટલમાં આ અંગે રજુઆત કરવામા આવી હતી. જ્યાં તેમને દવા જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઘાસવાડા ગામનો ખાંટ પરિવાર ગત શુક્રવારે બાળકને શરદી ખાસી અને તાવ આવતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હતો. જ્યાં ડોક્ટરે દોઢ વર્ષના બાળકને તપાસીને શરદીની દવા આપી હતી. જે ઘરે ગયા બાદ પરિવારના એક ડૉ સબંધી ની નજર પડતા તે દવા ત્રણ માસ પહેલા એક્સપાયર થઈ હોવાનું નજરમાં આવ્યું હતું. એકસપાયરી દવાના સેવનથી રિએકશનનું જોખમ વધેએન્ટિબાયોટિક દવાઓ એક્સપાયરી બાદ સ્વાસ્થ્ય માટે વધુ નુક્શાનકારક બની શકે છે. આવી દવાઓનું સેવન કરવાથી રીએકશન નું જોખમ વધે છે સામાન્ય રીએકશન થવાથી લઈને જીવનું જોખમ થવા સુધીનું નુકશાન થવાની શક્યતા રહે . પરિણામે નવી દવાઓ પણ શરીર પર અસર નથી કરી શકતી. જેથી દવા લેતાં પહેલાં તેની પર લખેલી એક્સપાયરી ડેટ ચેક કરબાવું જરૂરી છે. એક્સપાયરી ડેટ સુધી દવાઓ લેવી સુરક્ષિત માનવામાં આવે છે. તેમજ એક્સપાયરી બાદ દવાઓ લેવી જોખમી માનવામાં આવે છે. જેથી તમારે આ બાબતે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું જોઈએ. ડો. પૃથ્વીરાજસિંહ પુવાર, હાર્ટ સ્પેશિયલિસ
ગોધરાની બામરોલી રોડ પરની સોસાયટીઓમાં સોલાર પેનલ ફીટ કરેલા હોવા છતાં મસમોટા લાઇટ બિલ આવતા વિજગ્રાહકોએ વિજ કંપની સામે આક્રોશ વ્યકત કરી રજૂઆત કરી છે. હાઇ વોલ્ટેજના કારણે સોલારના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. જોકે વિજલોડ સેટ કરવાની કાર્યવાહી કરવામાં આવતાં સમસ્યાનો નિકાલ આવશે તેમ વિજકંપની જણાવી રહી છે. ગોધરા શહેરમાં આશરે 13 હજાર કરતા વધુ સોલાર પેનલ ફીટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિભાગમાં કનેલાવ ફીડર વિસ્તારમાં 8500 જેટલા સોલાર પેનલ લગાવાઇ છે. સોલાર પેનલ વધી જતાં વીજ લોડ સેટ ન થતાં હાઇ વોલ્ટેજની સમસ્યા વધી ગઇ છે. સોલારમાંથી ઉત્પન્ન થતા વિજ યુનીટ એમજીવીસીએલમાં જાય છે. જયારે એમજીવીસીએલ વિજગ્રાહકો માટે વિજ લોડનો સપ્લાય કરે છે. ત્યારે ગોધરાના બામરોલી રોડની મહાવીર નગર સહીતની આસપાસની સોસાયટીઓમાં સોલાર પેનર ધરાવતા વિજ ગ્રાહકોને છેલ્લા 5 માસથી મસમોટા લાઇટ બિલ આવતા ચોંકી ઉઠયા હતા. સોલાર હોવાથી યુનિટ જમા થતા બિલ આવવુ જોઇએ નહિ પણ વિજ ગ્રાહકોને 5 હજારથી 12 હજાર સુધી લાઇટ બિલો આવતા વિજ કંપનીને રજુઆત કરી છે. સોલાર હોવા છતાં લાઇટ બિલો આવતા ગ્રાહકો ટેકનીકલ ખામી દુર કરવાની માંગ કરી છે.ત્યારે સોલાર પેનલના યુનિટ જનરેટ ન થતા વિજ બિલો આવી રહ્યા છે. સોલારથી ઉત્પન થતા વીજ લોડ અને એમજીવીસીએલ મારફતે મોકલતા વિજલોડ ના લીધે ટ્રાન્સફોર્મર પર લોડ વધતા હાઇ વોલ્ટેજનો પ્રોમ્બલ થતા સોલાર પેનરના ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થઇ જતા સોલારના યુનિટ જનરેટ થતા નથી. વિસ્તારમાં વધુ સોલાર પેનલ હોય ત્યાં આ રીતે હાઇ વોલ્ટેજના કારણે ઇન્વર્ટરની સ્વીચ ટ્રેપ થતા મસમોટા લાઇટ બિલો સોલાર પેનલ ધરાવતા વિજ ગ્રાહકોને આવી રહ્યા છે. એમજીવીસીએલ દ્વારા વિજ લોડ સેટ કરવાની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. ભાસ્કર ઇનસાઈડવીજલોડથી ઇન્વર્ટરની સ્વિચ ટ્રીપ થતાં બિલ આવે છે સોલારના ઇન્વર્ટરમાં વિજ લોડ વધારી દેતા સમસ્યાનું નિરાકરણ આવશે ગોધરામાં 13 હજાર જેટલા સોલાર પેનલ ફીટ કરેલા છે. સોલાર પેનલ ફીટ કરે ત્યારે ઇન્વર્ટરમાં વોલ્ટેજ 260 વોટનું સેટ કરેલ હોય છે. જેના લીધે વિસ્તારમાં હાઇ વોલ્ટેજ થતા વોલ્ટેજ 260 ઉપર વધી જતા સોલાર પેનલના ઇન્વર્ટરની સવીચ ટ્રેપ થઇ જાય છે. જેના લીધે યુનિટ જનરેટ ના થતા લાઇટ બિલ આવી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઇન્વર્ટરમાં વિજ લોડ 280 જેટલો સેટ કરી દેવામાં આવે તો હાઇવોલ્ટેજ વધવા છતાં સોલારના ઇન્વર્ટરની સવીચ ટ્રેપ નહિ થાય અને યુનિટ જનરેટ પણ થશે. જોકે ઉશ્કેરાયેલા લોકોએ વીજ કંપનીનમાં જઇને આક્રોશ પુર્ણ રીતે રજૂઆત કરતાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી.
આમલેથાના સભ્યએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો:નર્મદામાં સિક્લસેલના દર્દીને સહાય નહીં મળતાં હાલાકી
જીલ્લા પંચાયત નર્મદાના આમલેથા બેઠકના સભ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન રસ્મિકા વસાવા એ સિકલસેલ એનિમિયાના દર્દીઓની ચિંતા કરી ને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખી જણાવ્યું નર્મદા જીલ્લામાં સિકલસેલનુ અને ક્ષય રોગોનું પ્રમાણ વિશેષ છે. આ વિસ્તારમાં અનુસુચિત જનજાતિના લોકોનું પ્રમાણ વધારે છે. આવા દર્દીઓને જરૂરી સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં જવા માટે મુખ્યત્વે સરકારી સહાય ઉપર નિર્ભર રહે જે સહાય કોઈ કારણસર છેલ્લા 10 થી 11 મહિનાથી મળ્યા નથી રોગો સામે યોગ્ય સમયે જે યોગ્ય સારવાર મળી રહેવી જોઇએ યોગ્ય સહાય અને ન્યાય મળી રહે તે માટે આરોગ્ય વિભાગ ધ્વારા આવી રહેલી સમસ્યા ઝડપથી નિરાકરણ લાવવા અને આવા દર્દીઓને નિયમિત સહાય મળી રહે આ બાબતે ઘટતુ કરવા રજૂઆત કરી છે.
નવી ટેક્નોલોજીનો ઉપયોગ:દયાદરા રોડ પર વૃક્ષોને બદલે રીફલેક્ટર લગાવાયા
ભરૂચમાં નબીપુરથી દયાદરા ચાર માર્ગીય રોડ પર રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. અગાઉ માર્ગની વચ્ચે આવેલાં ડિવાઇડર પર વૃક્ષો ઉગાડવામાં આવતાં હતાં જેના કારણે સામેથી આવતાં વાહનોની હેડલાઇટના પ્રકાશથી અન્ય વાહનચાલકોની આંખ ન અંજાઇ જાય પરંતુ હવે વૃક્ષોનું સ્થાન રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમે લીધું છે. દહેજ જીઆઇડીસી તરફથી આવતાં અને જતાં વાહનો દયાદરાથી નબીપુરવાળા માર્ગનો ઉપયોગ કરતાં હોય છે. આ રસ્તાને ચાર માર્ગીય બનાવી દેવામાં આવ્યો છે. જિલ્લા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રોનક શાહે જણાવ્યું હતું કે,નબીપુર દયાદરા ચાર માર્ગીય રસ્તા પર ભારદારી વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માતો નિવારવા માટે ડિવાઇડરમાં રીફલેકટીવ એન્ટી ગ્લેર સીસ્ટમ લગાડવામાં આવી છે. જેથી રાત્રીના સમયે બંને બાજુ અવરજવર કરતા વાહનોનો પ્રકાશ સામેના ચાલકોની આંખોમાં ન પડે અને ગ્લેર ન થાય અને વાહનચાલક સામેનો રસ્તો સરળતાથી જોઇ શકે. નબીપુર- દયાદરા ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે ઉપર પણ આ સીસ્ટમ લગાડવામાં આવી છે. ભાસ્કર નોલેજરીફલેક્ટિવ એન્ટિ ગ્લેર સિસ્ટમ શું હોય છે રાત્રિના સમયે વાહન ચલાવવું પડકારરૂપ બની શકે છે, મુખ્યત્વે ઘટાડો દૃશ્યતાને કારણે. રાત્રે રોડ રિફ્લેક્ટર હેડલાઇટ્સને પ્રતિબિંબિત કરીને ડ્રાઇવરોને લેન માર્કિંગ, વળાંકો અને રસ્તાની કિનારીઓ વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. આનાથી રોડ પરની દૃશ્યતા સુધરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જશે. આ સરળ છતાં અસરકારક મિકેનિઝમ ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં, અકસ્માતો ઘટાડવામાં અને સરળ, સુરક્ષિત ડ્રાઇવિંગ અનુભવની ખાતરી કરવામાં મદદ કરે છે. આ નવીન સિસ્ટમ રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે, કારણ કે તે આવતા વાહનોની હેડલાઇટનો તેજસ્વી પ્રકાશ સીધો ડ્રાઇવરની આંખોમાં પડતો અટકાવશે. આનાથી રોડ પરની દૃશ્યતા સુધરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જશે.
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં સૌ પ્રથમ વખત રબર મેટ પર કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ તથાસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમતઅધિકારીની કચેરી તરફથી ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાઈઓ-બહેનો સહિત કુલ 500થી વધુ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.નોંધનીય છે કે, જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણની રબર મેટ પર આ સ્પર્ધા યોજાઈ હતી, જેની દરેક ખેલાડીએ ખૂબ પ્રશંસા કરી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલના માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી સ્પર્ધા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. ગુરુવારની પૂર્વ સંધ્યાએ રમાયેલી રોમાંચક ફાઈનલ મેચની સાથએસ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ હતી. આવા આયોજનથી નર્મદા જિલ્લાના રમતવીરોમાં પણ જુસ્સાવર્ધન થશે અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળશે.
કરુણ દુર્ઘટના:ટ્રેનની અડફેટે 45 વર્ષના ઇસમનું મોત
ચલથાણ ગામની સીમમાં ફરી એકવાર રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનની અડફેટે એક અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું છે. રેલવે પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચલથાણ રેલવે સ્ટેશનની નજીક આવેલા નેશનલ હાઈવે 48 ના રેલવે બ્રિજની નીચે એક અજાણ્યો ઇસમ ટ્રેન અડફતે આવી ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, મૃતક ઇસમની ઉંમર આશરે 45 વર્ષની આસપાસ જણાય છે રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
દાહોદ જિલ્લામાં બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટેની મહત્વાકાંક્ષી સરકારી યોજનાઓમાં કેટલી ગંભીર બેદરકારી ચાલી રહી છે, તેનો ચોંકાવનારો કિસ્સો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યો છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોષણ યોજનાના મૂળ હેતુઓ પર જ સવાલ ઉઠાવે તેવી ગેરરીતિઓ પકડાઈ હતી.જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની મુલાકાત સમયે આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને હાજર હતા. સૌથી ગંભીર બાબત એ સામે આવી કે જ્યારે હાજર સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને રૂબરૂ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓને સરકારની મહત્વની યોજનાઓ જેવી કે દૂધ સંજીવની યોજના અને પોષણ સુધા યોજનાનો લાભ નિયમિત રીતે આપવામાં આવતો નથી. પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ મામલે પણ ગંભીર બેદરકારી જોવા મળી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીધા વર્કરને મોકલવામાં આવતા દૈનિક 5 પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ પૈકી એક પણ પ્રવૃત્તિ કરાવવામાં આવતી ન હતી. મુલાકાત દરમિયાન બહાર આવ્યું કે, બાળકોની પ્રવૃત્તિની પુસ્તિકા અને રમકડાં ઉંદરો દ્વારા નાશ કરવામાં આવેલ છે. અન્ય રમકડાં પણ યોગ્ય ઉપયોગ અને જાળવણીના અભાવે વાપરવા લાયક રહ્યા નથી. સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલી વાસણ, પુસ્તકો અને અન્ય સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે જાળવણી થઈ ન હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન:અંકલેશ્વરમાં સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
અંકલેશ્વર તાલુકા સેવા સદન નજીક મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના સાથે સંપન્ન થયો હતો. શ્રી સોમનાથ મહાદેવની સાથે માઁ પાર્વતી, ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે મંદિરના શિખર પરના સ્તંભ પર ધર્મ ધ્વજારોહણ અને કળશની સ્થાપના કરવામાં આવી હતી.
વિશેષ પ્રદર્શનનું આયોજન:રાજપીપળામાં ધ ઇટર્નલ સરદાર થીમ પર પ્રદર્શન
નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની અવિસ્મરણીય વારસાને સમર્પિત વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરના રોજ સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી રાજપીપલાની પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે લેગસી એન્ડ રિવાઇવલ - ધ ઈટર્નલ સરદાર થીમ હેઠળ પ્રદર્શની યોજાશે. રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રદર્શન સરદારસાહેબના જીવન, સંઘર્ષ, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન તથા તેમની અડગ દ્રઢ સંકલ્પશક્તિ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરાશે. રાષ્ટ્રીય યુનિટી માર્ચનો આશય સરદાર સાહેબના જીવનમૂલ્યો, દેશપ્રેમ અને ભારતને એક કરવા માટે તેમના બહુમૂલ્ય યોગદાનની યુવાપેઢી, મહિલા-બાળકો, યુવાનો સહિત પ્રત્યેકનાગરિકોને પ્રતિતી કરાવવાની છે.
વેધર રિપોર્ટ:ભરૂચમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો
ભરૂચ જિલ્લામાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે જેથી ગરમી અનુભવાઇ રહી છે. જોકે ભેજનું પ્રમાણ બે દિવસથી વધુ નોંધાય રહ્યું છે. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધીને 41 થી 63 ટકા અને પવનની ગતિ ઘટીને 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે શરદી-ખાંસી નું પ્રમાણ લોકોમાં વધુ જોવા મળ્યું હતું.
SIRની કામગીરી:બીએલઓએ કચેરીઓમાં ગાદલાઓ પાથરી 70 ટકા ડિજિટાઇઝેશનનું કામ પૂર્ણ કરી દીધું
નર્મદા જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જિલ્લાની કચેરીઓ હોય કે તમામ મામલતદાર કચેરીઓ માં ગાદલા પાથરી બીએલઓએ મોડી રાત સુધી કચેરીઓ માં બેસી કામ કર્યું હતું. રવિવારે સ્કૂલો માં બેસી કામ કર્યું અને બાકીના સમયે ઘરે ઘરે જઈને કામગીરી કરી ત્યારે જિલ્લામાં મતદારોના 72.30 ટકાના એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઈઝ કરાયાં છે. બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ્સ ઝડપથી પ્રાપ્ત કરી શકાય તથા મતદારો ઇચ્છે તો દસ્તાવેજો પણ જમા કરી શકે તે માટે, મતદાન અને નાગરિકોની સુવિધા માટે દરેક વિધાનસભા મતવિભાગોમાં તા.29 અને 30 નવેમ્બર,25 ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.મોદીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો આઠમા ક્રમે છે, જ્યાં 72 ટકાથી વધુ ફોર્મ ડિજિટાઈઝ થયા છે. સાથોસાથ મતદાર ફોર્મ ઝડપી રીતે પ્રાપ્ત કરવા અને જરૂરી પુરાવા રજૂ કરવા માટે જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે તા. 29 અને 30 નવેમ્બરના રોજ યોજાનાર કેમ્પનો લાભ લેવા તેમણે મતદારોને અનુરોધ કર્યો હતો. તા. 29 મીને શનિવારના રોજ બપોરે 12થી સાંજના 5 વાગ્યા સુધી અને 30મીએ રવિવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઇ.એફ. ફોર્મ અને મતદારો ઇચ્છે તો દસ્તાવેજો પણ પુરાવા રજૂ કરી શકે તે માટે કેમ્પ યોજાશે. કેમ્પ સ્થળે છેલ્લા SIR વર્ષ 2002 ની મતદારયાદીમાં નામ શોધવા માટે મદદરૂપ થવા તથા 2002 ની મતદારયાદી સર્ચ ફેસિલિટી સહિત હેલ્પ ડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
ગોઝારો બનાવ:બાયડ ડેમાઇ હાઇવે પર વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું
બાયડ તાલુકાના મોટા લાલપુર ગામના વ્યક્તિ શિંગોડા વેચવા માટે મોટર સાયકલ ઉપર જતા હતા. ત્યારે બાયડ ડેમાઈ મુખ્ય હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને લઇ સરસોલી મોટા લાલપુર વસાદરા વગેરે ગામોના મોટી સંખ્યામાં આગેવાનો બાયડ દોડી પહોંચ્યા હતા. આ અંગે આ પંથકના આગેવાન ભરતભાઈ ભોઈએ જણાવ્યું કે ગુરુવાર સવારના સમય દરમિયાન તેમના ગામના સુરેશભાઈ ભોઈ બાઇક નંબર gj 31 એબી 7812 લઈ બાયડ થી ડેમાઈ તરફ જતા હતા. ત્યારે અચાનક જ અજાણ્યા વાહને ટક્કર મારતાં સુરેશભાઈ બાઇક સાથે રોડ ઉપર પટકાઈ પડ્યા હતા. જ્યાં તેમને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ વાતની જાણ મોટા લાલપુર સહિત અન્ય ગામોમાં થતાં અનેક આગેવાનો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. યુવાનના મૃત્યુને લઈ ગામમાં તથા ભોઈવાસમાંં શોક છવાઈ ગયો હતો.
પ્રજાજન પરેશાન:હિંમતનગરમાં નમસ્તે સર્કલપાસે રોડની હાલત બિસ્માર
હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તથા રોડ ઉપરનો ડામર નીકળી જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જો કે, સદનસીબે હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. તંત્ર દ્વારા વરસાદ બાદ શહેરના વિવિધ માર્ગોની મરામત કરાઇ રહી છે. પરંતુ નમસ્તે સર્કલ આસપાસના રોડનું સમારકામ હજુ સુધી કરાયું નથી. અહીંથી પસાર થતાં વાહન ચાલકે જણાવ્યું હતું કે, આ રોડની મરામત ન કરવાથી અહીંથી પસાર થતી વખતે સાવધાની રાખવી પડે છે તેમ છતાં કયારેક બાઇક ડગવા લાગતાં બીક લાગે છે, અહીંથી પસાર થતાં લોકોની માંગણી છે કે, શહેરના અન્ય રસ્તાઓની જેમ આ રોડની પણ મરામત કરીને તેને યોગ્ય કરવામાં આવે. > શૈલેષભાઇ પટેલ, ગોપાલભાઇ શાહ વાહનચાલક હિંમતનગર રોડનું ટૂંક સમયમાં સમારકામ કરાશેહિંમતનગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ડીકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં આવેલા તમામ રોડ રસ્તાનું સમારકામ તથા નવીનીકરણ હાથ ધરાયું છે. નમસ્તે સર્કલ પાસે આવેલા રોડનું પણ ટૂંક સમયમાં સમારકામ કરાશે.
વીજગ્રાહકોમાં ફેલાયો રોષ:મેઘરજમાં યુજીવીસીએલ કંપનીનું ગ્રાહકે બિલ ભર્યું છતાં નોટિસ
મેઘરજમાં વીજ તંત્રની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા મેઘરજના કેટલાક ગ્રાહકોએ વીજબીલ ઓનલાઇન અથવા કેસમાં ચૂકવી દીધી હોવા છતાં પણ મેઘરજ ugvcl કચેરીના અંધેર વહીવટથી વીજબીલ ભરેલ ગ્રાહકોને પણ નોટિસો આપતાં રોષ ફેલાયો છે. મેઘરજના સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહક રહીમભાઈનું સ્માર્ટ મીટરનું વીજ બિલ રૂ. 12378 હતું તે વીજ બિલ વીજ ગ્રાહક દ્વારા તા.13 નવેમ્બર 2025 ના રોજ ભરી દેવાયા હતા અને પાવતી મેળવી લીધી હોવા છતાં પણ તા. 19- 11-2025 ના રોજ રૂ. 12378 બાકી છે. તેવી યુજીવીસીએલ કચેરી મેઘરજના નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ મેઘરજ ઘટક-1 દ્વારા વીજ ગ્રાહક રહીમભાઈને નોટિસ આપી રૂ. 12,378 ભરવા માટે 15 દિવસનો સમય આપતાં વીજ ગ્રાહક રહીમભાઈ આવક બન્યા હતા અને આ અંગે તેઓએ ના. કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા
કેબલ ચોરી કરનાર પકડાયા:મોડાસાના ચાંદટેકરીના બે શખ્સો ચોરી કરેલા કેબલના પાંચ બંડલ સાથે ઝડપાયા
મોડાસામાં જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાંથી ચોરી કરેલા કેબલ વાયર લઈને ચાંદ ટેકરીથી નીલગીરીઓની અંદર થઈ રેલવે ફાટક તરફ જઈ રહેલી રિક્ષા રોકીને એસઓજીએ 20હજારના કેબલના પાંચ બંડલ સાથે ચાંદ ટેકરીના બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. મોડાસા શહેરી વિસ્તારમાં એસઓજીનો સ્ટાફ પીઆઇ વાઘેલાની સૂચનાથી પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચાંદ ટેકરીથી નીલગીરીની અંદર થઈ રેલવે ફાટક તરફ જતાં રોડ ઉપર રિક્ષામાં બે શખ્સો પસાર થઈ રહ્યા હતા. એસઓજીએ રિક્ષા રોકીને તેની તલાશી લેતાં રિક્ષામાંથી કેબલ વાયરના જુદા જુદા ચાર ગૂંચડા અને ઇન્ટરનેટ લેન કેબલનું ગૂંચડું નંગ એક મળ્યું હતું. પોલીસે આગવી ઢબે રિક્ષામાં રહેલા કેબલ અંગે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ તા.25 નવેમ્બરે રાત્રિના સમયે જીનિયસ ગ્રાઉન્ડની બાજુમાં બંધ પડેલ કોમ્પ્લેક્સ નજીક મંડપ બાંધેલો હતો તેની બાજુમાં કેબલ વાયરની ચોરી કર્યાનું જણાવતા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી લાદીમ ફકીર મોહમ્મદ મુલતાની (22) અને ઈરફાન ઈબ્રાહીમ મુલ્તાની (32) બંને રહે. ચાંદ ટેકરી મોડાસા સામે ગુનો નોંધી પોલીસે 20હજારના કેબલ વાયર તેમજ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.180520નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી:મોડાસામાં શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણના 475 મા પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી
મોડાસાના ગોકુલનાથજી મંદિરે શ્રીમદ ગોકુલનાથ પ્રભુચરણનો 475મો પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા ઊજવણી કરાઇ હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠના જણાવ્યા અનુસાર માગસર સુદ - 6 ની વહેલી સવારેથી ગોકુલેશપ્રભુને ( દાદાજી) ને ઢોલ - નગારા વગાડીને ઉત્સવની વધામણી કરાઇ હતી. મહાઔછવ ઉત્સવની ઉજવણી પૂર્વે બુધવારની રાત્રે મંદિરે ધન ધન છઠ્ઠ ની રાત સુહાવની ઉત્સવમાં વૈષ્ણવ ભાઈ બહેનોએ વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહી કિર્તન ગુણગાન તેમજ મનોરથી અનિલભાઈ શેઠ ના પરિવાર દ્વારા વૈષ્ણવોને કૂલેલ - તિલક કરી પ્રસાદી બાંટી ઉત્સવની ઊજવણી કરાઇ હતી. માગસર સુદ 7 ને ગુરુવાર ના રોજ ગોકુલેશ પ્રભુ ચરણના 475મા પ્રાગટ્ય મહોત્સવની વહેલી સવારે મંગળા આરતી, કેસર સ્નાન દર્શન તેમજ રાજભોગ દર્શનમાં માળાતિલક અને બહેનો દ્વારા કિર્તન ગુણગાન કરી ઉત્સવોને મંગલમય બનાવ્યો હતો. મંદિરના મુખિયાજી પવનભાઈ શર્મા, મંત્રી મહેન્દ્રભાઈ ગાંધી, રાજુ મામા, રાજુભાઈ શેઠ તેમજ ઉત્સવ કમિટીના સભ્યોએ જેહમત ઉઠાવી હતી. વૈષ્ણવ ભાઈ બહેનોને નીરજભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.
SIR:સા.કાં.માં આગામી શનિ-રવિ ફરીથી મેગા કેમ્પ
સાબરકાંઠામાં સરની કામગીરી 80 ટકાની પાર થઈ ગઈ છે અને બાકી રહેલા એક સપ્તાહમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર તમામ તાલુકા મથકોએ આગામી શનિ-રવિ દરમિયાન મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ મેગા ફોર્મ કલેક્શન કેમ્પનું આયોજન કરાયું છે જ્યાં એક જ સ્થળે આખા તાલુકાના તમામ બીએલઓ સવારે 9 થી સાંજે 5 સુધીમાં હાજર રહેશે. આ સ્થળો ઉપર યોજાશે કેમ્પ
શિક્ષકોમાં આનંદની લાગણી:સાબરકાંઠામાં 1340 પ્રાથમિક શિક્ષકોને OPSમાં સમાવાયા
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 1340 પ્રાથમિક શિક્ષકોને ઓ.પી.એસ. (જૂની પેન્શન યોજના)માં સમાવેશ કરવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકે હુકમ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તા. 01-04-2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફતે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય પરંતુ તા. 01-04-2005 પછી નિમણૂંક પામ્યા હોય ઉપરાંત તે પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક લઇ નોકરીમાં જોડાયા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા દ્વારા દરખાસ્ત કરાઇ હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:સા.કાં.ની 33 બેંકોમાં દાવા વિનાના 310 કરોડ જમા
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા વિવિધ નાણાંકીય સંસ્થાઓમાં એટલે કે બેન્કોમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ સહિતની જમા પૂંજી માટે ખાતાધારકના વાલી વારસોને તક મળી રહે તે હેતુસર શરૂ થયેલ ઝૂંબેશમાં જાણવા મળી રહ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતામાં દાવો ન કરાયો હોય તેવા 310 કરોડ રૂપિયા જમા પડ્યા છે. જેના માટે આજે હિંમતનગરમાં તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઈન સાથે શિબિર યોજી માર્ગદર્શન આપવામાં આવશે. તમારી પૂંજી, તમારો અધિકાર ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ 4 ઓક્ટોબરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા શરૂ કરાઇ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન જાગૃતિ ઝૂંબેશ ચલાવાઇ રહી છે. લીડ બેન્ક મેનેજર સંજય ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું કે જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા સાબરકાંઠામાં આજે 28 નવેમ્બર શુક્રવારના રોજ એક શિબિરનું નલિનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગરમાં સવારે 11-30 કલાકે આયોજન કરાયું છે. શિબિરમાં સાબરકાંઠા જિલ્લાની 33 બેંકોમાં 31200 ખાતાધારકોની 310 કરોડથી વધારે રકમ જમા છે. આ તમામ ખાતાઓ નિષ્ક્રિય છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ કરાશે. શિબિરમાં નાણાંકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
SIRની કામગીરી:અરવલ્લી જિલ્લામાં 24 દિવસમાં સરની 70 ટકા કામગીરી પૂર્ણ થઇ
અરવલ્લીમાં SIR મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ તા.4 નવેમ્બરથી શરૂ કરાયું છે. જિલ્લામાં મોડાસા ભિલોડા અને બાયડ વિધાનસભા મત વિસ્તારના 1048 બુથ વિસ્તારમાં બીએલઓ દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં 24 દિવસમાં સરેરાશ 70% કામગીરી પૂર્ણ કરાઇ છે અને આગામી 4 થી 5 દિવસમાં જિલ્લામાં SIRની સો ટકા ગણતરી ફોર્મ એફઇ પરત મેળવી કામગીરી પૂર્ણ કરાશે. બીએલઓને પૂરતો સહકાર આપવા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ભિલોડા વિધાનસભા મત વિસ્તારમાં 63 ટકા, મોડાસા વિધાનસભા મત વિસ્તારમાં 65 ટકા તથા બાયડમાં 80 ટકા ગણતરી ફોર્મ(EF) મતદારો પાસેથી વિગતો ભરી પરત મેળવી લેવાયા છે.
સોમવાર સુધી ખેડૂતોને ન આવવા અપીલ:હિંમતનગર યાર્ડમાં બે દિવસ મગફળીની હરાજી નહીં થાય
હિંમતનગર યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગત સપ્તાહમાં બે દિવસનો ભરાવો થઈ ગયા બાદ ગુરૂવારે ફરીથી 700 થી 800 વાહનોમાં મગફળી લઈને ખેડૂતો આવી પહોંચતા માર્કેટયાર્ડ સંચાલકો દ્વારા સોમવાર સુધી ખેડૂતોને ન આપવા અપીલ કરવામાં આવી છે. અચાનક હિંમતનગર માર્કેટ યાર્ડમાં ધસારો થવા પાછળ સારી મગફળીના 1550 થી 1700 સુધીના ઊંચા ભાવ મળતાં હોવાથી અન્ય તાલુકાના અને બીજા જિલ્લામાંથી ખેડૂતો આવી રહ્યા છે. ચાલુ સપ્તાહમાં હિંમતનગર યાર્ડમાં દૈનિક સરેરાશ સાડા નવથી દસ હજાર ક્વિન્ટલ મગફળી વેચાણ અર્થે આવી રહી છે. ગત સપ્તાહમાં પણ એટલો ભરાવો થઈ ગયો હતો કે બે દિવસ માટે ખેડૂતોને ન આવવા અપીલ કરાઈ હતી. મોડાસાના મોટી ચીચણોના મુકેશભાઈ મંગળભાઈ પટેલે જણાવ્યું કે મેં રૂ.1620 ના ભાવે 60 બોરીનું વેચાણ કર્યું છે. તો મોડાસાના ગઢાના મયુરભાઈ રેવાભાઇ પટેલ રૂ.1565 ના ભાવે 70 બોરીનું વેચાણ કર્યાનું જણાવ્યું હતું. જ્યારે દલપુરના રણજીતસિંહ બકુલસિંહ રાઠોડે રૂ.1551 ભાવ મળ્યાનું કહ્યું હતું. છેલ્લા ચાર દિવસથી રૂ. 900 થી 1702 સુધીનો ભાવ પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં હિંમતનગર યાર્ડમાં 3.30 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ ચૂકી છે. ઊંચા ભાવ મળતાં ખેડૂતોનો ધસારોએપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું કે ઊંચા ભાવ મળવા સહિત ખેડૂતોને અહીં સારી સુવિધા મળતી હોવાથી બહારના તાલુકા અને જિલ્લામાંથી ખેડૂતો આવી રહ્યા છે આજે પણ 700- 800 વાહનો આવ્યા છે એટલે નવા વાહનો માટે સોમવારથી આવવા અપીલ કરી છે.
હિંમતનગરમાં પાંચબત્તી સર્કલ નજીક દુર્ગા રેલવે ફ્લાયઓવર બનાવવામાં નીચે હાર્ડ રોક આવ્યા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરવો પડતાં રાજપૂત ભવનનું 4.30 મીટર બાંધકામ અને ફાટકની પૂર્વમાં દરગાહનું 3.0 મીટર બાંધકામ દૂર કરવું પડે તેમ હતું. ત્યારે ક્ષત્રિય હિતકારીણી સભા રાજપૂત ભવનનું આખું બાંધકામ દૂર કરી આપવા સંમત થતાં હવે રેલ્વે ફ્લાયઓવરના નિર્માણના મોટાભાગના અંતરાય દૂર થઈ ગયા છે. હિંમતનગરમાં LC- 82 રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરાયા બાદ ત્રણ વર્ષમાં અનેક અંતરાય આવ્યા છે. જમીનમાં હાર્ડ રોક આવવાને કારણે અવારનવાર કામગીરી લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ડિઝાઇનમાં ફેરફાર કરી હિંમતનગર પાલિકાને રાજપૂત ભવનનું 4.30 મીટર અને ફાટકની પૂર્વમાં આવેલ દરગાહનું 3.0 મીટર બાંધકામ દૂર કરી આપવા જાણ કરી હતી જેને પગલે પાલિકા ચીફ ઓફિસરે તા.31-05-25 ના રોજ ટ્રસ્ટને નોટિસ આપી બાંધકામ ખૂલ્લું કરી આપવા જાણ કરી હતી. રાજપૂત ભવનમાં નીચે 5 ભાડુઆતો હતાં તેમણે હાઇકોર્ટ સુધી સ્ટે મેળવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સા.કાં. ક્ષત્રિય હિતકારીણી સભા જનહિત માટે બાંધકામ દૂર કરી આપવા સંમત હોવાની તમામ વાતોની દાદ નકારી કાઢવામાં આવી હતી. આ મામલે સા.કાં. ક્ષત્રિય હિતકારીણી સભાના ટ્રસ્ટી રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું કે નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટ દ્વારા જનહિત માટે સંમતિ અપાઈ હતી. પરંતુ બિલ્ડીંગ દાયકાઓ જૂનું હોવાથી 4.30 મીટર જેટલી જગ્યા ખૂલ્લી કરવા જતાં આખું બિલ્ડીંગ ધસી પડે તેમ હોઈ તા.10-06-25 ના રોજ વળતર માટે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા વેલ્યુએશન નક્કી કરવા આર એન્ડ બી દ્વારા વેલ્યુએશન કરાવી એસ્ટીમેટ જીયુડીસીમાં મોકલાયા બાદ યુડીસીએ બાંધકામ દૂર કરી 4.30 મીટર જેટલી જગ્યા જીયુડીસીને સોંપવા પત્ર લખ્યો હતો. તેમણે ઉમેર્યું કે વળતરની કાયદાકીય પ્રક્રિયા બાદ રાજપૂત ભવનનુ બાંધકામ દૂર કરવાનું ચાલુ કરાયુ છે.
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિકૃપા સોસાયટીમાં 8 લાખ લિટર ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અવારનવાર છલકાતી હોવાના કારણે રહીશો ભારે પરેશાન છે. આ ટાંકી દર બે દિવસે ઊભરાય છે અને સોસાયટીમાં પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની રહી છે. રહીશોએ જણાવ્યું કે ટાંકો સોસાયટીના પાછળના ભાગમાં સ્થિત છે અને પાણી ઊભરાતા રસ્તાઓ પર કાચો-કાદવ ફેલાઈ જાય છે. દૈનિક કાર્યક્રમોમાં અવરોધ ઉભો થાય છે, ખાસ કરીને સ્કૂલ જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રહીશો બોર ઓપરેટરની બેદરકારીને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ફરજ પરનો ઓપરેટર પાણીની મોટર ચાલુ કરીને સ્થળેથી જતા રહે છે. ટાંકો છલકાય અથવા રહીશો ફોન કરે તો જ અન્ય કર્મચારીને મોકલી મોટર બંધ કરાવવામાં આવે છે. આ પગલે રહીશો નારાજગી વ્યક્ત કરી પાલિકા કચેરીમાં ગુરુવારે રજૂઆત કરી હતી. કાયમી ઉકેલ માટે રહીશોએ તંત્ર સમક્ષ બે માંગ1. ટાંકીમાં પાણીની લેવલ નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સેન્સર લગાવવા, જેથી પાણીનો બગાડ અટકે.2. છલકાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા, જેમાં પાણી ગટરમાં મૂકી શકાય અથવા બાજુમાં આવેલા 10 લાખ લિટર ક્ષમતાવાળા સમ્પમાં કનેક્ટ કરી તેનો ઉપયોગ થઈ શકે. સેન્સર લગાવવાની કાર્યવાહી કરવા સૂચના નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહે જણાવ્યું હતું કે જાવેદભાઈને તરત જ સેન્સર લગાવવાની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. વધુમાં, બોર ઓપરેટર ફરજમાં બેદરકારી કરે તો તેને બદલી મૂકવા તંત્ર કડક પગલાં લેશે.
ગોઝારો અકસ્માત:પાલનપુરના ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત
પાલનપુર તાલુકાના ખેમાણા ગામના કમલેશ ઉર્ફે કિર્તીભાઈ સેધાભાઈ ડગલા તા. 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યે રિક્ષા નં. જીજે-08-એટી-9661 લઈને ખેમાણાથી પાલનપુર તરફ નીકળ્યા હતા.આ દરમિયાન આદિત્ય ગ્રેનાઇટ નજીક હાઇવે પર કાર નં. જીજે-38-ડીઇ-2869ના ચાલકે રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા કમલેશભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી . આથી તેમનું ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. સાથેના સુનીલભાઈ માંગરોળાને સામાન્ય ઇજા થઈ હતી. કારચાલક અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા સિદ્ધપુરમાં 2 કરોડના ખર્ચે માર્ગોને પહોળા અને મજબૂત માટે સરકાર દ્વારા તા. 01/03/2025ના રોજ રૂ.2 કરોડની વહીવટી મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંગલાસણ–મેત્રાણા–વડુ માર્ગ પર સી.સી. રોડ તેમજ સ્ટોર્મ વોટર ડ્રેઈનનું નિર્માણ કરાઈ રહ્યું છે. વર્ક ઓર્ડર શરદ કન્સ્ટ્રક્શનને તા. 26/06/2025થી એનાયત થયા બાદ કામગીરી તેજ ગતીએ આગળ વધી છે. કુલ 500 મીટર સી.સી. રોડમાંથી 200 મીટર સુધીનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 600 મીટર સ્ટોર્મ વોટર ડ્રેઈનમાંથી 300 મીટરનું કામ પૂર્ણ થયું છે. બાકીની કામગીરી પ્રગતિ હેઠળ ચાલી રહી છે અને વિભાગ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ 30/12/2025 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નવા સ્ટોર્મ વોટર ડ્રેઈનના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકશે. ઉપરાંત, ગામના મુખ્ય માર્ગ પર બનેલા નવીન સીસી રોડથી સ્થાનિક નાગરિકો માટે અવરજવર વધુ સુરક્ષિત તથા આરામદાયક બને તેવી આશા છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેલાડીઓ દર વર્ષે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભાગ લેવા માટે જાય છે. દર વર્ષે 5થી 7 જેટલા ખેલાડીઓની પસંદગી થાય છે પરંતુ પ્રથમવાર આ વર્ષે જુડો, આર્ચરી, એથ્લેટિક જેવી વિવિધ સ્પર્ધાઓ માટે નેશનલ વિજેતા 13 જેટલા વિદ્યાર્થીઓની ઇન્ડિયામાં ભાગ લેવા માટે પસંદગી થતા રાજસ્થાનમાં ભાગ લેવા માટે ગયા છે. આગામી 5 ડિસેમ્બર સુધી આ ખેલો ઇન્ડિયા ટૂર્નામેન્ટ યોજાનાર છે જેમાં શરૂઆતના દેશ સ્પર્ધામાં જ યુનિવર્સિટીના બે ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલો મેળવ્યા છે. જેમાં વિદ્યાર્થિની ભગોરા ભાર્ગવીએ જયપુર ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં આર્ચરી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ઉદયપુર ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં જુડો સ્પર્ધામાં 66 kg વેઇટ કેટેગરીમાં પ્રતિસ્પર્ધી ખેલાડીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. વિદ્યાર્થીની ભાર્ગવીનો પહેલો ઇન્ડિયામાં સિલ્વર, ગોલ્ડ બાદ હવે આ ત્રીજો બ્રોન્ઝ મેડલ છે. પ્રશાંત ચૌધરી યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ સાથે પ્રથમ મેડલ મેળવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ,રજીસ્ટ્રાર તેમજ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા બંને ખેલાડીઓને ટેલિફોનિક શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહિત કરી હતી. શારીરિક શિક્ષણ નિયામક ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ માટે ઊભું કરેલું હકારાત્મક વાતાવરણ સાથે નવી પોલીસી અને તેમને આપવામાં આવી રહેલી સુવિધાઓ અને તાલીમને લઈ છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટીના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ મેળવી રહ્યા છે.
ખેડૂતો થયા પરેશાન:વાતાવરણ પલટાતા સરસ્વતી–વાગડોદ પંથકમાં રવિ સિઝનના પાકને રોગનો ભય
સરસ્વતી–વાગડોદ પંથકમાં ગુરુવારે અચાનક બદલાયેલા વાતાવરણને કારણે રવિ સિઝનના મુખ્ય પાકો પર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સામે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે. સરસ્વતી તાલુકામાં રવિ સિઝનમાં દિવેલા, ઘઉં, રાયડો, એરંડા, જીરૂં અને શાકભાજીનું વ્યાપક વાવેતર થયું છે. હાલમાં સુજલામ–સુફલામ તથા દાંતીવાડા કેનાલ અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ ચાલી રહી છે અને કોઈ મોટા નુકસાનની ભીતિ નથી.નાયતાના બલાજી ઠાકોરે દિવેલામાં ફુલ ભમરી તથા રાયડામાં મોલામચ્છી વધવાની આશંકા વ્યક્ત કરી ખેડૂતોની હાલત વધુ ચિંતાજનક બની છે. તો પણ લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી શકે છે, એવું ખેતીવાડીના વિસ્તરણ અધિકારી સુરેશ ચૌહાણે જણાવ્યું. મોરપાના ઈશ્વરજી ઠાકોરે જણાવ્યું કે ઠંડી પાક માટે લાભદાયી છે, પરંતુ વાતાવરણના પલટાથી રાયડો અને ઘઉંને અસર થવાની ચિંતા છે.
પોલીસને આવેદન:ગડસઈમાં દારુનું વેચાણ બંધ કરાવવા પોલીસને આવેદન
સાંતલપુર તાલુકાના ગડસઈ ગામમાં દારૂનું વેચાણ બંધ કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય કરી ગામમાં દારૂનું વેચાણ ના થાય માટે કાર્યવાહી કરવા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગરસઈ ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ગામમાં યુવા ધન નશાના રવાડે ના ચડી દારૂ પીને અપ શબ્દોનો ઉપયોગ કરે છે દારૂના ખોટા સેવનને કારણે નાની ઉંમરમાં મોત થતા મહિલા વિધવા બને છે. જેથી ગ્રામજનો દ્વારા ગામમાં દારૂનું વેચાણ બંધ કરી દારૂબંધીને ચુસ્તપણે પાલન થાય માટે નિર્ણય કરીને ગામમાં કોઈ દારૂનું સેવન કરશે અથવા તો દારૂની વેચાણ કરશે તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા પણ ગ્રામજનોના નિર્ણયને માન્ય રાખી ગામમાં કોઈ આવી દારૂની પ્રવૃત્તિ ના કરે માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
કૃષિ રાહત પેકેજ:પાક સહાય માટે 15 દિવસમાં ચાર તાલુકાના 64,272 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી
પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં 1.38 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર કૃષિ રાહત પેકેજમાંથી 221 ગામોના ખેડૂતોને અંદાજે રૂ.300 કરોડથી વધુ સહાય મળશે. રાહત પેકેજ માટે 4 તાલુકાના 64272 ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરી છે. સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકામાં ભારે વરસાદને પગલે પુર જેવી પરિસ્થિતિ સર્જાતાં કપાસ, દિવેલા, કઠોળ, મગફળી, ઘાસચારો સહિતના ખરીફ પાકોને નુકસાન થતાં તંત્રની ટીમોએ 1.85 લાખ હેક્ટરમાં સર્વે કર્યો હતો. જેમાં 1.38 લાખ હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. આ નુકસાનીની સહાય ચૂકવવા માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરે રૂ.22000 સહાય આપવામાં આવશે. આ સહાય માટે પોર્ટલ પર 15 દિવસમાં 64,272 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જેમાં સૌથી વધું સાંતલપુર તાલુકામાંથી 18786 ખેડૂતોએ અરજી કરી છે. તંત્રએ આ અરજીઓની ચકાસણી સહિતની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. અરજી કરવા માટે સરકારે 7 દિવસ લબાંવી પાક સહાય માટે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદા 25 નવેમ્બર સુધીની રાખી હતી.પરંતુ વધારે ખેડૂતો લાભ લઈ શકે અને કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે આ સહાય માટે અરજી કરવા સરકારે 7 દિવસનો વધારો કર્યો છે.તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલે જણાવ્યું હતું. તાલુકાવાઈઝ અરજી
ભાસ્કર એક્સક્લુસિવ:સરની પ્રથમ ડ્રાફ્ટની યાદીમાં પાટણ જિલ્લામાં 56358 મતદારો નામ રદ થશે
પાટણ જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા, ડમી, સ્થળાંતરિત અને ગુમનામ હોય તેવાં અત્યાર સુધીમાં કુલ 56358 મતદારો મળ્યા છે.આ તમામ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થશે. એટલે કે આ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં. પાટણ જિલ્લામાં નવેમ્બરથી શરૂ થયેલી SIRની કામગીરી 1222 બીએલઓ મારફતે પૂરજોશમાં ચાલી રહી છે.22 દિવસમાં આ કામગીરી 77.93 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરીનું એનાલિસિસ કરતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લાની 4 વિધાનસભામાંથી 19160 મતદારોનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.તો 31061 મતદારોએ તો કાયમી સ્થળાંતર કરી દીધું છે. એટલું નહીં 3232 મતદારો તો મળતા જ નથી તેમ છતાં તેમના નામ યાદીમાં હતા.3905 મતદારોના નામ ડુપ્લીકેટ હોવાનો ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. 52,588 મતદારોના નામ હાલની મતદાર યાદીમાં છે પરંતુ 2002ની મતદાર યાદીમાં તેમના કે તેમના સંબંધીના નામ નથી. એટલે કે તેમનું મેપિંગ થયું નથી. મેપિંગ થતું નથી તેવા મતદારોને પુરાવા આપવા પડશે4 વિધાનસભામાં કુલ 52,588 મતદારોનું મેપિંગ થતું નથી.જેમાં સૌથી વધુ પાટણમાં 15370, રાધનપુરમાં 15037, ચાણસ્મામાં 12,117 અને સિદ્ધપુરમાં 10,064 મતદારોનું મેપિંગ થતું નથી એટલે કે આ મતદારોના નામ હાલની મતદાર યાદીમાં છે પરંતુ 2002ની યાદીમાં તેમનાં કે તેમના સંબંધીઓના નામ મળતા નથી એટલે હવે તેમને પુરાવા આપવા પડશે. પાટણ જિલ્લામાં 29 અને 30 નવેમ્બરે ખાસ સઘન મતદાર યાદી સુધારણા કેમ્પ થશે મતદારોને સેવા વધુ સરળ બને તે માટે 29 અને 30 નવેમ્બર 2025 ના બે દિવસ માટે પાટણ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પોમાં મતદારો પોતાના ગણતરી ફોર્મ જમા કરાવી શકશે અને જરૂરી દસ્તાવેજોની વિગતો અંગે માર્ગદર્શન મેળવી શકશે. જેમના ગણતરી ફોર્મ હજુ બાકી છે, તે મતદારો આ વિશેષ કેમ્પનો ઉપયોગ કરી ફરજિયાત રીતે ગણતરી ફોર્મ જમા કરાવે. આ કેમ્પ બે દિવસ સવારે 11:00 થી સાંજે 5:00 સુધી ચાલશે. મતદારોના કામની વાતસ્થળાંતર મતદારો નામ દાખલ કરવા પુરાવા સાથે અરજી કરવીનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મૃતક મતદારો, કાયમી સ્થળાંતરિત થયેલા મતદારો, ડુપ્લીકેટ મતદારો, તેમજ જેમનો સંપર્ક થતો નથી તેવા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં આવશે નહીં પરંતુ જે લોકોનો સંપર્ક થતો નથી કે સ્થળાંતરિત છે. તેવા મતદારો પુરાવા સાથે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ-6 ભરીને નામ દાખલ કરવા માટે મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે તેના પર મતદાર નોંધણી અધિકારી યોગ્ય નિર્ણય લેશે. પાટણ જિલ્લામાં 4 વિધાનસભા વાઈઝ આંકડો
પાલનપુર-અમદાવાદ હાઇવે પરના શેરપુરા પાટિયા નજીક છાપી પોલીસે ગુરુવારે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ક્રૂરતાપૂર્વક 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી.પોલીસે ટ્રક ચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાલનપુર -અમદાવાદ હાઇવે પરના શેરપુરા પાટિયા નજીક ટ્રક નં. જીજે-02-બીટી-2129 શંકાસ્પદ રીતે પૂરઝડપે પસાર થઇ રહ્યો હોઇ પોલીસની ટીમે ટ્રકને રોકાવી તેની તલાશી લેતાં તેમાં ગેરકાયદે રીતે ક્રૂરતાપૂર્વક ભરેલ 15 ભેંસો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામના ટ્રકના ડ્રાઇવર હસનખાન મહમદખાન શેખ અને કંડક્ટર સાહીલખાન શાહેદખાન બલોચે પાસ–પરમીટ વગર ભેંસો ભર્યાની કબૂલાત કરી હતી.ટ્રકમાં ભેસોને ખીચોખીચ, એકબીજાની ચામડી ઘસાય તેવી સ્થિતિમાં તથા પાણી, ઘાસચારો કે હવા–ઉજાસની કોઈ સગવડ વગર ભરવામાં આવી હતી. પૂછપરછમાં ડ્રાઇવરે જણાવ્યું કે ભેસો ખળી ચાર રસ્તા નજીકથી ઉસીભાઈ બલોચ (રહે. કાકોશી) દ્વારા ભરાવવામાં આવી હતી અને તેમને સોજત (રાજસ્થાન) લઇ જવાની હતી. પોલીસે અંદાજીત કિંમત 3 લાખની ભેંસો અને રૂ. 8 લાખની ટ્રક કબ્જે લઇ આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માત સર્જાયો:સમી પાસે બાઈકને ગાડીએ ટક્કર મારતા ખાંભેલનાં બાઈક ચાલકને ઈજા
સમીના વઢિયાર પેટ્રોલ પંપ પાસે બાઈકને અર્ટીગા ગાડીએ ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલક ને ઇજાઓ થઇ હતી બહુચ રાજી તાલુકાના ખાંભેલ ગામના સાગર ભાઈ બાબ ભાઈ ચૌહાણ તેમના ગામ ખાતેથી બાઈક પર રાધનપુર BOB બેંકમાં મિટિંગમાં જતા હતા તે વખતે સમીના વઢીયાર પેટ્રોલ પંપ પાસે પહોંચતા રાધનપુર બાજુથી આવતી અટૅીગા ગાડીએ બાઈકને અચાનક ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેમને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા આ અંગે સાગ ભાઇ ચૌહાણ એ સમી પોલીસ મથકે અટીૅકા ગાડી ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી
અમીરગઢ તાલુકાનાં ઘાંટા (ગોળીયા) ગામમાં ધોળાદિવસે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. ઘરના સભ્યો પડોશમાં લગ્ન પ્રસંગે ગયા હોવાથી તેનો લાભ લઈ તસ્કરોએ તીજોરી તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.1.67 લાખની મત્તાની ચોરી કરી હતી. અમીરગઢ તાલુકાનાં ઘાંટા (ગોળીયા) ગામના નેતાભાઈ હેદાભાઈ ધર્માજી રબારી બુધવારે સવારે તેમના પરિવાર સાથે પાડોશી જોધાભાઈ રબારીના પુત્ર રામાભાઈના લગ્ન પ્રસંગે ઘરેને તાળું મારીને નીકળ્યા હતા. બપોરે 1:30 વાગ્યે પરત ફરતાં ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર તિજોરીનો લોક તોડી ખુલ્લો મળ્યો હતો. ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા પશુપાલનના ધંધાના રૂ.60,000 રોકડ મળી ન આવતા પરિવાર દંગ રહી ગયો હતો. આથી તેમણે અમીરગઢ પોલીસમાં રૂ.1.67 લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:સિદ્ધપુરના ફુલપુરા નજીક ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચારને ઇજા પહોંચી
સિદ્ધપુર હાઈવે પર ફુલપુરા પાટિયા નજીક મહેસાણા તરફથી સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિયો કાર રસ્તા કિનારે એક ચાના સ્ટોલ નજીક સાઈડમાં ઉભેલી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અથડામણથી સ્કોર્પિયોના આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો. સદ્નસીબે ગાડીની એરબેગ ખુલી જતા ગાડીમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી. સિદ્ધપુર હાઈવે પર ફુલપુરા પાટિયા નજીક ચાની સ્ટોલ નજીક બુધવારે રાત્રે ઊભી હતી. સ્કોર્પિયો કારના ચાલક અગમ્ય કારણોસર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કારને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રકના પાછળ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની એરબેગ સમયસર ખૂલી જતા ચારેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પરતું ગાડીમાં સવાર મહિલા સહિત 4 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક હાજર લોકો દ્વારા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસને અકસ્માત અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે દોડી આવી હતી
ઉત્કૃષ્ટ પ્રદર્શન:જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલ કબડ્ડીમાં જિલ્લામાં ચેમ્પિયન
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સ, વઢવાણના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં આયોજિત ખેલ મહાકુંભ 2025ની જિલ્લા કક્ષાની અંડર-14 કબડ્ડી સ્પર્ધામાં શાળાની ટીમના ખેલાડીઓએ સ્પર્ધા દરમિયાન અદમ્ય સાહસ, સ્ફૂર્તિ અને શાનદાર ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું. ફિઝિકલ ઈન્સ્ટ્રક્ટર અને કોચ ગઢવી મોહિતભાઈ દ્વારા આપવામાં આવેલી નિયમિત અને સઘન તાલીમનો ખેલાડીઓને વિશેષ લાભ મળ્યો હતો. વિદ્યાર્થીઓએ અંતિમ રાઉન્ડ સુધી પ્રતિસ્પર્ધી ટીમોને જોરદાર ટક્કર આપી પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે હવે તેમની પસંદગી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે થઈ છે, જ્યાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આથી શાળાના સંચાલક આનંદપ્રિયસ્વામીજી તથા પ્રિન્સિપાલ સાવલિયા પિયુષભાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, અમારા માટે આ ગર્વની લાગણી છે. પસંદ થયેલા વિદ્યાર્થી ખેલાડીઓ : પરમાર મૌલેશ ગોરધનભાઈ, કોળીપટેલ પૃથ્વીભાઈ બાબુભાઈ, કોળી જયપાલ વિપુલભાઈ, ડાંગર ગૌતમ ઈશ્વરભાઈ, ધરજીયા કૌશલભાઈ ભરતભાઈ, સુતરસાંઢિયા દીપ અજીતભાઈ, મકવાણા કિશનજી પ્રધાનજી, વેલાણી પાર્થ ભરતભાઈ, તડવી વિશાલભાઈ કિશનભાઈ, કઠેકિયા મહાવીર મનોજભાઈ.
ઠંડીમાં આંશિક રાહત થઈ:તાપમાન 2.3 ડિગ્રી વધ્યું, બપોર સુધી ધૂંધળું વાતાવરણ
ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી અને ધુમ્મસનું આક્રમણ થતાં બપોર સુધી ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે અને તાપમાન સતત ઉંચાઈ રહ્યું હોવાના કારણે ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે જૂનાગઢ ખાતે લઘુતમ તાપમાનનો પારો 24 કલાકમાં 2.3 ડીગ્રી ઉપર ચડીને 16.3 ડીગ્રીએ સ્થિર થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણે વધીને 85 ટકાએ પહોંચી ગયું હતું. સવારથી વાતાવરણમાં શરૂ થયેલું ધુમ્મસ બપોર સુધી યથાવત રહેતા કમોસમી વરસાદની શક્યતા વધી ગઈ હતી પરંતુ સદનસીબે આવું કંઈ થવાને બદલે માત્ર ધૂંધળું વાતાવરણ રહ્યું હતું. છતાં ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. સવાર તાપમાન વધવાની સાથે બપોરે પણ મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બપોરની હવામાં ભેજ પણ વધીને 35 ટકા થઈ ગયો હતો. સવારથી પવનની ઝડપ પ્રતિ કલાકની 2.1 કિલોમીટરની રહી હતી. દરમિયાન હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલ માવઠાની શક્યતા નહિવત છે અને ઠંડી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી તીવ્ર બનશે.
કાર્યવાહી:ઝનાના હોસ્પિટલમાં દર્દી પાસેથી ઉઘરાણા કરનાર કર્મચારી સસ્પેન્ડ
રાજકોટની સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે. મંગળવારે એક વીડિયો ફરતો થયો હતો જેમાં ઝનાના હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ પાસેથી વર્ગ-4ના કર્મચારીઓ દર્દીઓના સંબંધીઓ પાસેથી રૂ.100થી 500 સુધીના ઉઘરાણા થતાં હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે સત્તાધીશોએ તપાસના આદેશ આપતા કોન્ટ્રાક્ટબેઝ કર્મચારી મહિલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રસૂતા બાળકને જન્મ આપે એટલે પરિવારજનો ખુશીમાં હોસ્પિટલના વર્ગ-4ના સ્ટાફને બક્ષિસરૂપે પોતાની આર્થિક સ્થિતિ મુજબ રકમ આપતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે, પરંતુ કેટલાક સમયથી કેટલાક કર્મચારીઓ બળજબરીથી રકમના ઉઘરાણા કરવા લાગ્યા છે અને રાબેતા મુજબ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને ભણક પણ લાગી નહોતી કેમ કે, ભોગ બનનાર પાસેથી નિવેદન નોંધી પૈસા ઉછીના આપ્યાનું લખાવી લેવાયું હતું. જોકે મામલો ટોક ઓફ ધી ટાઉન બનતા વીડિયોમાં ધરાર બક્ષિશ લેનાર કોન્ટ્રાક્ટબેઝ કર્મચારી મહિલા વર્ષાબેન બારિયાનું નામ ખુલ્યું હતું. જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પાલનપુરના તિરુપતિ સોસાયટીમાં બનનાર પમ્પિંગની દીવાલથી વરસાદી કેનાલ અવરોધાવાની ભીતિ છે જેના પગલે તિરુપતિ ટાઉનશીપ સહિત વિસ્તાર ડુબમાં જવાની શક્યતા છે. સ્ટેશનને માત્ર 20 ફૂટ દૂર બનાવવાની માંગ સાથે કલેકટર અને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર નિવાસી અધિક કલેક્ટરે ટેલિફોન પરથી ચીફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. પાલનપુર શહેરના તિરુપતિ ટાઉનશીપ ભાગ-1 સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના પ્રવાહને લઈને ગંભીર સમસ્યા ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની મુખ્ય કેનાલને અડીને ભુગર્ભ ગટર લાઇન માટે પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ સ્ટેશનની દીવાલ કેનાલથી ખૂબ નજીક હોવાથી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં ભારે વરસાદ વખતે આ સમગ્ર વિસ્તાર પુરગ્રસ્ત થયો હતો અને હાલ આસપાસ મોટા પ્રમાણમાં નવા બાંધકામ થતા જોખમ વધુ વધ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને સોસાયટી દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી માટે નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટેલિફોનીક સૂચના આપીને સમસ્યાની નોંધ લીધી હતી. ત્યારબાદ પાલનપુર નગરપાલિકા ખાતે પણ આવેદન રજૂ કરી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન ખસેડવાની માંગ નથી, પરંતુ તેની દીવાલને આશરે 20 ફૂટ દૂર ખસેડવાની માગ છે, જેથી કેનાલ મારફતે વરસાદી પાણીનો અવરોધ વિના નિકાલ થઈ શકે. લડબી નદીના વળાંક નજીક પમ્પિંગ સ્ટેશન બનતું હોવાથી કરંટ વોટર ડિસ્ચાર્જ પર પણ અસર પડશે. આ મુદ્દે રાહત કમિશનર, પાણી પુરવઠા અને ગટર બોર્ડ, નગરપાલિકા કમિશનર, બનાસકાંઠા કલેકટર, પાલનપુર નાયબ કલેકટર સહિતના જવાબદાર વિભાગોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસરે ટેકનિકલ સ્ટાફ સાથે સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ભાસ્કર વિશેષ:પાલનપુરના જગાણામાં લગ્ન મંડપના પ્રવેશ દ્વારે દીકરીઓને પ્રોત્સાહિત કરતા સ્લોગન લગાવાયા
પાલનપુર તાલુકાના જગાણા ગામે ઉગમણી શેરીમાં રહેતા ઠાકોર પરિવારે તેમની દીકરીના લગ્ન પ્રસંગે મંડપના પ્રવેશ દ્વારે દીકરી જન્મને તેમજ તેઓ જીવનમાં આગળ વધે તે માટે સમાજને પ્રોત્સાહિત કરતા સ્લોગન લખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગ્ન પ્રસંગ હોય ત્યારે સામાન્ય પણે મંડપના પ્રવેશદ્વારે પરિવારો તેમના કુટુંબીજનોના ફોટા લગાવતાં હોય છે. પરંતુ પાલનપુર તાલુકાના જગાણા ગામે ઉગમણી શેરીમાં રહેતા સુરેશજી ઘેમરજી ઠાકોર અને તેમના પત્ની લીલાબેન સુરેશજી ઠાકોરે દીકરી જન્મ વધે અને સમાજમાં દીકરીઓનું સન્માન જળવાય તેવો જીવનમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરતા જુદા જુદા સ્લોગોનો લગાવ્યા હતા. આ અંગે સુરેશજીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી શકે છે, તેમની ક્ષમતાઓને ઓળખી પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ સંદેશો ઠાકોર સમાજમાં પ્રસરે તે માટે મારી દીકરી મિત્તલના લગ્ન પ્રસંગમાં મંડપના પ્રવેશદ્વારે જુદાજુદા સ્લોગન લગાવ્યા હતા. આ સંદેશો સમાજમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ તરફ સકારાત્મક અસર કરશે. દીકરીઓને માત્ર ઘરકામ ના શીખવો પરંતુ એવું શિક્ષણ આપો કે તે દુનિયા જીતી શકે આ સ્લોગન આકર્ષણનું કેન્દ્રમહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડીઓના ફોટા, આઈ પી એસ મહિલા અધિકારી, મહિલા વૈજ્ઞાનિકો સહિતના ફોટા સાથે દીકરીને માત્ર ઘરકામ ના શીખવો પણ એવું શિક્ષણ આપો કે આખી દુનિયા જીતી શકે. દીકરીનું શિક્ષણ ઘર સમાજનું ઉત્થાન સહિતના સ્લોગન આમંત્રિત મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીતાબેન મુકેશભાઈ ચૌધરીને જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત ધારાની કલમ-57(1) હેઠળ હોદ્દાથી દૂર કરવાનો આદેશ કર્યો છે. સરપંચના પતિ અને પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલે હાઇકોર્ટમાં અરજી પરત ખેંચવા બદલ રૂા. 35 લાખની માંગ કરી હતી જે બાદ એસીબીની લાંચના છટકામાં રૂા. 15 લાખ સ્વીકારતા પકડાયા હતા. જેમાં સરપંચની સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે બાદ તપાસમાં મોટર રીપેરીંગ, ડિઝલ વપરાશ, સફાઇ ખર્ચ બાબતે નિયમોથી વિરુદ્ધ ચુકવણાં તાલુકા પંચાયતની પૂર્વ મંજૂરી લીધા વગર ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ડીડીઓ દ્વારા કરાયેલી તપાસમાં ખુલ્યું હતું. ઉપરાંત બાંધકામની ગેરકાયદે પરવાનગી સહિતની બાબતોના આધારે સરપંચ સામે સત્તાના દુરુપયોગ અને ફરજમાં બેદરકારી સાબિત થતાં તેમની બરતરફીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. સરપંચ પતિ સભ્ય પદે ગેરલાયક ઠર્યા હતા સરપંચ પતિ મુકેશ ચૌધરી વોર્ડ નંબર છના સભ્ય હતા, લાંચ કાંડ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરી ચૂંટણી થઈ હતી અને લક્ષ્મણ ચૌધરી સભ્ય પદે ચૂંટાયા હતા. પૂર્વ સરપંચ સામે 13. 42 લાખની રિકવરીનો આદેશછાપી ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંના દુરુપયોગ અંગે જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. વર્ષ 2018-19 દરમિયાન ગેરરીતિઓ સામે આવી હતી. તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યા હતાં. સરકારી નાણાંનો દુરુપયોગ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ છાપી ગ્રામ પંચાયતના તત્કાલિન સરપંચ ભરતભાઈ પટેલને જવાબદાર ઠેરવી તેમની સામે 13.42 લાખની વસુલાત કરવા હુકમ કરવામાં આવ્યો હતો. પ્લોટ ધારકો વિકાસ કમિશ્નરમાં કેસ જીતતા પંચાયત દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવા ઠરાવ થયો હતો છાપી ગામના ગામતળ વિસ્તારમાં સર્વે નં. 233/1ની જમીનમાં 27 પ્લોટ ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરીને ફાળવવામાં આવ્યા હતા. ડીડીઓ બનાસકાંઠાએ આ ફાળવણી બાદમાં રદ કરી દીધી. પ્લોટધારકોએ ગાંધીનગર સ્થિત વિકાસ કમિશનર સમક્ષ રિવિઝન અરજી કરી, જ્યાં તેમના પક્ષે ચુકાદો આવ્યો હતો. જોકે વિકાસ કમિશનરના આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવા અંગે છાપી પંચાયતમાં ઠરાવ થયો હતો.
ગોઝારો અકસ્માત સર્જાયો:ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત નીપજ્યું
પાલનપુરના ખેમાણા પાસે કારની ટક્કરથી રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતુ.આ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. તાલુકાના ખેમાણા ગામના કમલેશ ઉર્ફે કિર્તીભાઈ સેધાભાઈ ડગલા તા. 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યે રિક્ષા નં. જીજે-08-એટી-9661 લઈને ખેમાણાથી પાલનપુર તરફ નીકળ્યા હતા. આ દરમિયાન આદિત્ય ગ્રેનાઇટ નજીક હાઇવે પર કાર નં. જીજે-38-ડીઇ-2869ના ચાલકે રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા કમલેશભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેમનું ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. સાથેના સુનીલભાઈ માંગરોળાને સામાન્ય ઇજા થઈ હતી. કારચાલક અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગે મૃતકના પિતા સેધાભાઇ ડગલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
એસઓજીની કાર્યવાહી:ડીસામાં લાયસન્સ વિના ચાલતી સિક્યુરીટી એજન્સીના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા એસઓજીએ બુધવારે ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં એક એજન્સી લાયસન્સ વિના ચાલતી હોવાનું બહાર આવતાં તેના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા એસઓજી પોલીસનો સ્ટાફ બુધવારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડીસાની આદર્શ હાઈસ્કૂલના ગેટ પર તૈનાત સિક્યુરીટી ગાર્ડ ગજેન્દ્રસીંહ પ્રવિણસીંહ વાધેલા (રહે. ઉણ, તા. કાંકરેજ)ની પૂછપરછ કરવામાં આવી હતી. ગાર્ડે જણાવ્યું હતું કે તે સૈનીક સીકયુરીટી સર્વીસ કંપની પ્રા. લીમીટેડ, ડીસાના ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેની પાસે ફરજ બજાવવા માટેના આધાર-પુરાવા નહોતા. આ હકીકત મળતાં પોલીસે સૈનીક સીકયુરીટી સર્વીસ કંપનીના સંચાલકનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન સૈનીક સીકયુરીટી સર્વીસ કંપની પ્રા. લીમીટેડ ડીસાના સંચાલક જીતેન્દ્રકુમાર પ્રભુદાસ ઠક્કર (રહે. અમૃતનગર સોસાયટી ભાગ-૨ ડીસા, હાલ રહે. આકાશવિલા સોસાયટી ભાગ-૨ પાલનપુર હાઈવે રોડ ડીસા)ને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી એજન્સી ચલાવવા અંગેના આધારભૂત કાગળો માગતા તેમણે જણાવ્યું હતું કે તેમની કંપનીનું રજીસ્ટ્રેશન તા. 21/02/2024 ના રોજ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેમની પાસે સિક્યુરીટી એજન્સી ચલાવવા માટેનું કોઈ પરમિટ કે લાયસન્સ નથી. આમ, સંચાલક જીતેન્દ્રકુમાર પ્રભુદાસ ઠક્કરે લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવીને પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી (નિયમન) અધિનિયમનો ભંગ કર્યો હોવાથી તેમની વિરુદ્ધ ડીસા ઉતર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહિલાને ગંભીર ઇજા પહોંચી:થરાદ નજીક ભારતમાલા સર્વિસ રોડ ઉપર બાઇક ઉપરથી મહિલા પટકાઈ
વાવ થરાદ જિલ્લાના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસરોડ ઉપર એક મહિલા બાઇક ઉપરથી પટકાઇ હતી. જ્યાં પાછળ આવી રહેલા પોલીસ અધિકારીએ તેણીને સારવાર માટે ખસેડી હતી. થરાદના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસ રોડ એક બાઈકનુ ટાયર ફાટતાં પાછળ બેઠેલા થરાદ તાલુકાના રાજકોટના સીતાબેન ગૌસ્વામી નીચે પટકાયા હતા. તેમને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન બંદોબસ્ત માંથી પરત આવતા વાવ-થરાદ જીલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે ચૌધરી તથા સ્ટાફે તરતજ ઈજાગ્રસ્ત બહેનને હોસ્પિટલ ખસેડી હતી.
મહેસાણા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલાના નૂતન સંકુલ ખાતે શ્રી કુંજનાથ જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવનો દ્વિતીય દિવસ અલૌકિક ભક્તિભાવ સાથે ઊજવાયો. આજે પરમાત્મા તથા ધ્વજદંડ વગેરેના દિવ્ય પ્રભાવ ધરાવતી ઔષધીઓ અને તીર્થજળ દ્વારા કુલ 18 અભિષેકનો ભવ્ય કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં પાર પડ્યો. પૂજ્ય રવિસાગરજી મહારાજની દિવ્ય પ્રેરણાથી દાનવીર શેઠ વેણીચંદ સુરચંદ દોશીએ 128 વર્ષ પહેલાં મહેસાણા ગામમાં આ પાઠશાળાની સ્થાપના કરી હતી. હવે આ પાઠશાલા લીંચ ગામ નજીક અમદાવાદ–મહેસાણા હાઈવે પર સ્થિત નૂતન સંકુલમાં સ્થાનાંતરિત થઈ રહી છે. આ પ્રસંગે પૂજ્ય રવિસાગરજી મહારાજની પાઠ પરંપરાનુસાર યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી ના સમુદાયના તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ ્વરજી તથા રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી સહિતના સંતમંડળની નિશ્રામાં કાર્યક્રમ ધર્મમય બન્યો. આગામી 30 નવેમ્બરના રોજ ભારતભરના જૈન શ્રેષ્ઠિઓ અને ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે નૂતન જિનાલયમાં શ્રી કુંજનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ ભવ્ય રીતે યોજાશે.
ટ્રાફિક સમસ્યા વકરી:બહુચરાજીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની, પણ પોલીસને પડી નથી
યાત્રાધામ બહુચરાજીમાં હાઇવે શક્તિ સર્કલથી લઈ માર્કેટયાર્ડ સુધી, પાલખીપથની બંને બાજુ ટુવહીલર, રિક્ષાઓ, ગાડીઓ તેમજ ટ્રેક્ટરો આડેધડ પાર્ક કરી દેવાય છે. પરિણામે, આ રોડ પરથી પસાર થતી એસટી, ડમ્પર, લક્ઝરી બસો સહિતના ભારે વાહનો પસાર થાય ત્યારે ટ્રાફિકજામ થઈ જાય છે. વારંવાર થતા આ ટ્રાફિકના કારણે સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નગરપાલિકા અને પોલીસ તંત્ર હવે આળસ ખંખેરીને શહેરમાં આડેધડ પાર્ક કરાતાં વાહનો સામે ડંડો ઉગામે તે જરૂરી બન્યું છે.
મહેસાણા એ ડિવિઝન પોલીસમાં 5 સામે ગુનો નોંધાયો:કસ્બામાં મહોલ્લા આગળથી નીકળવા મામલે યુવક પર હુમલો
મહોલ્લા આગળથી નીકળવા મામલે મહેસાણાના કસ્બા વિસ્તારમાં યુવક અને તેના બનેવીને મારનાર એક મહિલા સહિત પાંચ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહેસાણાના આંબેડકર ચોકમાં વણકરવાસમાં રહેતા વનરાજ રજનીકાંત મકવાણાનો નાનો ભાઈ કિરણભાઈ મકવાણા રાત્રે 8:30 વાગે તેમનું બાઈક લઈને તેમના ઘરેથી કસ્બામાં આંબેડકર ચોક ખાતે જતો હતો. તે સમયે તેમના મહોલ્લાના રાવત મુકુંદ મહેશભાઈએ તેમને ફોન કરી તું કેમ અહીંથી ફૂલ સ્પીડમાં નીકળે છે. તેમ કહ્યું ફોનમાં બોલા ચાલી કરેલ ત્યારે આ વાત તેમના ભાઈ એ ઘરે આવીને તેમને જણાવી હતી. ત્યારબાદ 26 નવેમ્બરના રોજ તેઓ બજારમાં કરિયાણું લઈને ઘરે પરત આવતા તેમના મહોલાના આગળ અગાઉથી જ રાવત મુકુંદ મહેશભાઈ, રાવત લકી મહેશભાઈ, રાવત માનવ કનુભાઈ અને રાવત દલીબેન કનુભાઈ અને રાવત મગીબેન મહેશભાઈ ધોકા જેવા હથિયારો લઈને ઊભા હતા અને તેને ઉભો રાખી તારા ભાઈને સમજાવી દેજે કે અહીંથી બાઈક લઈને નીકળે નહીં તેમ કહી તેમને ગાળો બોલી હતી અને મુકુંદભાઈ એ તેમને ધોકો માર્યો હતો. જ્યારે લકી રાવતે ડાબા હાથની હથેળીના ભાગે છરી મારતાં ઘાયલ થયો હતો.
ખારી નદી પર બનેલા ફ્લાયઓવર પર 30 ગડરો મૂકવાનું કામ ગત સપ્તાહે શરૂ થયું હતું. પાંચ દિવસમાં 30 પૈકી 24 ગડરો મૂકી દેવામાં આવ્યા હતા. જોકે, બાકી રહેલા છ ગડરો મૂકતી વખતે મહાકાય ક્રેનોને ઊભી રાખવા પૂરતી જગ્યા ન હોવાથી કામગીરી ચાર દિવસ માટે સ્થગિત કરવી પડી હતી. ગુરુવારે માર્ગ-મકાન વિભાગ દ્વારા અચાનક અમદાવાદથી મહેસાણા તરફ આવતો રસ્તો બ્લોક કરી બાકી રહેલા ગડરો મૂકવાનું કામ ફરી શરૂ કરાયું. પાલાવાસણા નજીકથી બહુચરાજી રોડ થઈ નાગલપુર તરફ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન ફ્લાયઓવર પર તમામ 30 ગડરો મૂકવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ગડરો વચ્ચેની જગ્યાઓ આરસીસીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ ફ્લાયઓવરના બંને છેડે બાકી રહેલા માટી પુરાણ બાદ અંતિમ તબક્કે રોડ નિર્માણનું કાર્ય શરૂ થશે.
યાત્રિઓ આપે ધ્યાન:રવિવારે વાંકાનેર - મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની તમામ ટ્રિપ રદ
આગામી તા.30 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનની તમામ ટ્રીપ રદ રાખવામાં આવી છે. રેલવેના સુત્રોએ કરેલી જાહેરાત અનુસાર રવિવાર એટલે કે તા.30 ના રોજ મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ટ્રેન નંબર 79452, 79442 , 79454, 79444, 79446 અને 79448 તેમજ વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ટ્રેન નંબર 79441, ટ્રેન નંબર 79443 , ટ્રેન નંબર 79453, ટ્રેન નંબર 79445 ,ટ્રેન નંબર 79447 અને 79451 રદ કરવામાં આવી છે. રેલવે સુત્રોએ આ બાબતની તમામ યાત્રિકોને નોંધ લેવા અને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરવા અપીલ કરી છે. જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ભાસ્કર ઇનસાઈડસપ્તાહે એક વાર મેન્ટેનન્સ માટે ટ્રિપ બંધ રાખવાની પરંપરામોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને સપ્તાહમાં એકવાર ફરજિયાત બંધ રાખવી પડી રહી છે કેમકે રાજકોટ ડિવિઝન પાસે વધારાની એક પણ રેક નથી અને રાજકોટ ખાતે વર્કશોપ કે મેઇન્ટેનન્સ ડેપો પણ ન હોવાથી અમદાવાદ મોકલવી પડી રહી હોવાથી એક દિવસ પુરતી તમામ ટ્રીપ રદ કરવી પડી રહી છે. એક દિવસની 6 ટ્રીપના મુસાફરોની ગણતરી કરીએ તો આવક અને જાવક મળીને દરેક ટ્રીપના અંદાજે 100 મુસાફર ગણીએ તો રોજના 1100થી 1200 મુસાફરો આ ટ્રીપનો લાભ લે છે. અને સસ્તા ભાડાના લીધે ડેમુની ચાહના વધી રહી છે ત્યારે જો રેલવે તંત્ર વધારાની રેક ફાળવે તો સપ્તાહે એક વાર જે રીતે તમામ ટ્રીપ બંધ રાખવાની નોબત આવે છે તે ન આવે અને લોકોને વિના વિક્ષેપ સુવિધા મળે. > જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન
સિટી એન્કર:રેસ્ટોરંટ્સ - હોટેલ્સમાં સ્વચ્છતા માટે FDAની વિશેષ ઝુંબેશ
નાગરિકોને સ્વચ્છ અને પોષક આહાર મળે એ માટે તેમ જ રેસ્ટોરંટ્સ અને હોટેલ્સના ઠેકાણે વાતાવરણ વધુ સરસ રહે એ માટે ટૂંક સમયમાં રાજ્યમાં વિશેષ અભિયાન અમલમાં મૂકવાનો નિર્ણય અન્ન અને ઔષધ પ્રશાસને લીધો છે. આ અભિયાનમાં ઉત્તમ કામ કરનાર રેસ્ટોરંટ્સ અને હોટેલ્સનું સન્માન કરવામાં આવશે. રેસ્ટોરંટ્સ અને હોટેલ્સમાં ગંદકી હોય તો નાગરિકોના આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય છે. તેથી હોટેલ અને રેસ્ટોરંટ્સમાં હંમેશા સ્વચ્છતા રહે એ માટે એફડીએ તરફથી તપાસ કરવામાં આવે છે. રેસ્ટોરંટ્સમાં નાગરિકોને સ્વચ્છ અને પોષક આહાર મળે તેમ જ ત્યાં વધુ સરસ વાતાવરણ અને સ્વચ્છતા હંમેશા રહે એ માટે એફડીએએ વિશેષ અભિયાન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અનુસાર હોટેલ અને રેસ્ટોરંટ માલિકોને સ્વચ્છતા આદત લગાડવા પ્રયત્ન કરવામાં આવશે. આ ઝુંબેશ શહેરો સહિત ગ્રામીણ ભાગમાં તાલુકા સ્તરની રેસ્ટોરંટ અને હોટેલ માટે અમલમાં મૂકવામાં આવશે. એ દષ્ટિએ એફડીએના પ્રાદેશિક વિભાગને કાર્યવાહી કરવાનો નિર્દેશ અન્ન અને ઔષધ પ્રશાસન તથા વિશેષ સહાય વિભાગના મંત્રી નરહરી ઝિરવાળેએ આપ્યો હતો. તો અધિકારી પર કાર્યવાહીરાજ્યમાં પ્રતિબંધિત ગુટકા અથવા એવા સમાન પદાર્થોનું વેચાણ અનેક ઠેકાણે થતું હોવાનું દેખાય છે. ગુટકા, પાનમસાલા, સુંગધીત તંબાકુ જેવા પદાર્થો આરોગ્ય માટે ઘાતક છે. તેથી આ પદાર્થોનું વેચાણ સ્કૂલ કે અન્ય પરિસરમાં ન થાય એની તકેદારી સંબંધિત કાર્યક્ષેત્રના એફડીએના અધિકારીઓએ લેવી જરૂરી છે. તેમ જ પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ થતું હોવાનું જણાય તો વેચાણ કરનાર પર કઠોર કાર્યવાહી કરવી એવી સૂચના પણ ઝિરવાળેએ આપી હતી. કાર્યવાહી કરવામાં અધિકારી ગેરજવાબદારી દર્શાવશે તો અધિકારી પર પણ કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.

26 C