SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

સુરત મનપા ચૂંટણી ટાણે 'વિકાસ'ની પોલ ખુલી:પીવાના પાણી માટે ટળવળતા રહીશોએ AAP નેતા સમક્ષ ઠાલવ્યો આક્રોશ, કહ્યું-4 દિવસથી ટીપું પાણી નથી આવ્યું

આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 18 ના વિક્રમનગર-3 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સર્જાયેલી પાણીની તીવ્ર અછતને પગલે સ્થાનિક રહીશોએ આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. ધોમધખતા ઉનાળામાં છેલ્લા ચાર દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાણી માટે વલખાં મારતી જનતાવિક્રમનગર-3 ની છેલ્લી શેરીમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભીષણ ગરમીમાં છેલ્લા ચાર દિવસથી નળમાં ટીપું પાણી પણ આવ્યું નથી. પીવા માટે તેમજ રસોઈ અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી અનેક પરિવારો પોતાના સગા-સંબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે. 8 થી 10 દિવસથી ચાલી રહેલી આ અનિયમિતતાએ રહીશોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. વિકાસના દાવાઓ પર રાજકીય પ્રહારોઘટના સ્થળે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના 30 વર્ષના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ 'સ્માર્ટ સિટી'ના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા સમાન પાણી માટે તરસી રહ્યા છે. રહીશોની ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગઆ મામલે 'આપ' દ્વારા વરાછા ઝોનના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા (SMC)ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવા માંગ કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં જનતાની ધીરજ ખૂટી રહી છે ત્યારે તંત્રની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:56 pm

આચાર સંહિતાને કારણે 23 એપ્રિલનો ‘સ્વાગત’ કાર્યક્રમ રદ:હવે 30 એપ્રિલે નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે લાગુ કરાયેલ આદર્શ આચાર સંહિતાના કારણે દર મહિને યોજાતા પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ આગામી ગુરુવાર તારીખ 23 એપ્રિલ 2026ના રોજ યોજાનાર આ કાર્યક્રમ હવે યોજાશે નહીં. 30 એપ્રિલે ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશેસરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ એપ્રિલ મહિનાનો રાજ્ય અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ હવે પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે. પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યોમહત્વપૂર્ણ બાબત એ છે કે, 30 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ પ્રજાજનોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા આ ફેરફાર અંગે તમામ સંબંધિતોને જાણ કરી, નવી તારીખની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે, જેથી વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:55 pm

ઝનોર NTPCમાં ફાયર સર્વિસ સપ્તાહ સમાપ્ત:લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન દ્વારા જાગૃતિ પર ભાર

ભરૂચના ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ ખાતે CISF યુનિટ દ્વારા ૧૪ એપ્રિલથી શરૂ થયેલા ફાયર સર્વિસ સપ્તાહનું ૨૦ એપ્રિલે સફળતાપૂર્વક સમાપન થયું. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો, જેના સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન યોજાયું. સપ્તાહ દરમિયાન, CISF ફાયર વિંગ દ્વારા આગ નિવારણની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસના ગામોની શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૂત્ર લેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સમાપન સમારોહનું મુખ્ય આકર્ષણ લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન હતું. આ પ્રદર્શનમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અને સલામતીના પગલાં લેવા અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉપસ્થિત લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. કાર્યક્રમના અંતે સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ સૌને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:54 pm

હારીજમાં વૃદ્ધ વેપારી પાસેથી 2.80 લાખની લૂંટ:દુકાનથી ઘરે જતી વખતે છરી બતાવી બે શખસ ફરાર

પાટણ જિલ્લાના હારીજમાં એક વૃદ્ધ અનાજના વેપારી પાસેથી છરી બતાવીને રૂ. 2.80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હારીજ મેઈન બજારમાં ભાવેશ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા 73 વર્ષીય જયંતિલાલ ભુરાલાલ ઠક્કર ગત 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના નવેક વાગ્યે પોતાના પુત્ર કિશોર સાથે દુકાન બંધ કરી રહ્યા હતા. દિવસ દરમિયાનના વેપારના રૂ. 2,80,000 રોકડા એક થેલામાં ભરીને તેઓ પોતાના જ્યુપિટર વાહન (નંબર GJ24AL2704) પર ઘરે જવા નીકળ્યા હતા. જયંતિલાલ જ્યારે બહુચર માતાજીના મંદિર થઈને પોતાની સિધ્ધયોગી રેસીડેન્સીના ગેટ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી કાળા કલરના એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ બંને શખ્સોએ વેપારીના વાહનને ઓવરટેક કરીને રસ્તા વચ્ચે પોતાનું એક્ટિવા ઉભું રાખી દીધું. વેપારીએ પોતાનું વાહન ધીમું પાડતા જ એક્ટિવા પાછળ બેસેલ શખ્સ નીચે ઉતર્યો અને છરી જેવું હથિયાર કાઢી વેપારીને ડરાવ્યા. લૂંટારુએ વેપારીના ગળા અને છાતીના ભાગે લટકાવેલા રૂપિયાના થેલાને ખેંચવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે વેપારી પોતાના વાહન સાથે નીચે પડી ગયા. વેપારીએ બૂમાબૂમ કરતા લૂંટારુએ છરી વડે થેલાના પટ્ટા કાપી નાખ્યા અને રૂ. 2,80,000ની રોકડ ભરેલો થેલો લઈને બંને શખ્સો એક્ટિવા પર બહુચર માતાજીના મંદિર તરફ ભાગી છૂટ્યા. આ ઘટના દરમિયાન લૂંટારુઓ એક્ટિવા સાથે નીચે પડી ગયા હોવા છતાં તુરંત ઉભા થઈને નાસી છૂટ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો અને વેપારીના પુત્રો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લૂંટ કરનાર બંને શખ્સો આશરે 20 થી 25 વર્ષની ઉંમરના હતા, જેમાં એકે લાલ અને બીજાએ કાળા રંગનું શર્ટ પહેર્યું હતું. વેપારીની ફરિયાદના આધારે હારીજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ દેસાઇને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

સાબરકાંઠા LCBએ ફરાર હત્યાના આરોપીને ઝડપ્યો:વચગાળાની પેરોલ રજા પરથી ભાગી છૂટેલા કેદીને ગાંધીનગરથી પકડાયો

સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને વચગાળાની પેરોલ રજા પરથી ફરાર થયેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આરોપીને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી પકડીને અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો હતો. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં વિવિધ ગુનાઓમાં પેરોલ અને વચગાળાની રજા પરથી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB ટીમના ઘનશ્યામસિંહ અને અનિરુદ્ધસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસનો આરોપી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોર (રહે. 007 ટાટા હાઉસિંગ, વડસર, તા. કલોલ, જિ. ગાંધીનગર) પોતાના ઘરે હાજર છે. વર્ષ 2024માં અજય ઉર્ફે ચકો ઠાકોર અને રાહુલ ઉર્ફે ખિસકોલી સહિત ચાર આરોપીઓએ જૂની અદાવતના કારણે અમરજીત હોંસલાપ્રસાદ ચૌહાણ (ઉં.વ. 23)ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે તીક્ષ્ણ હથિયાર વડે અમરજીતના શરીર પર આશરે ત્રીસ જેટલા ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ગુનામાં આરોપીઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. વર્ષ 2025માં કેદી અજય ઠાકોરને 7 દિવસની વચગાળાની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે રજા પૂરી થયા બાદ જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે ફરાર કેદી નંબર 1583, અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને વડસર ખાતેથી પકડી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

'એક ઇંચ પણ નહીં આપીએ':જમીન સંપાદન અને TP સ્કીમના વિરોધમાં આદિવાસી સમાજનો હુંકાર; ચૂંટણી બહિષ્કારની ચીમકી

નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા હક અને અધિકાર માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં જમીન ગુમાવવાના મુદ્દે સમાજે એકસૂરે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. નિર્ણાયક મતબેંક અને વધતો રોષનવસારીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજ દાયકાઓથી નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં આદિવાસી બેઠકો ફાળવવામાં આવી છે. શહેરમાં અંદાજે 45,000 જેટલા આદિવાસી મતદારો નોંધાયેલા છે. હાલમાં સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકાસ જોઈએ, વિનાશ નહીંઆદિવાસી જનજાગૃતિ સમિતિના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નવસારીમાં સમાજની વસ્તી 70,000 થી 80,000 ની આસપાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમાજ વિકાસનો વિરોધી નથી, પરંતુ વિકાસના નામે આદિવાસીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો તે ચલાવી લેવાશે નહીં. તમામ રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ હોવા છતાં પ્રશ્નો વણઉકેલ્યા રહેતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સ્થાનિક રહેવાસી ડિમ્પલ નાયકાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવસારીમાં 70% વસ્તી આદિવાસીઓની છે, છતાં હંમેશા તેમને જ વિસ્થાપિત થવું પડે છે. અમે આ જમીનના મૂળ માલિક છીએ અને હવે જાગૃત થયા છીએ. જો ઘર કે જમીન છીનવવાનો પ્રયાસ થશે તો અમે એક ઈંચ જમીન પણ આપીશું નહીં. જરૂર પડ્યે અમે મતદાનના બહિષ્કારનો નિર્ણય પણ લીધો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણઆ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના વોર્ડ નંબર 13 ના ઉમેદવારે સ્વીકાર્યું હતું કે આદિવાસી સમાજના આંદોલનથી સરકાર ચિંતિત છે. તેમણે ખાતરી આપી હતી કે TP સ્કીમ (TPDP) અંગેના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધિ મંડળ સાથે મળીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને મધ્યસ્થી કરી યોગ્ય માર્ગ કાઢવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ પણ આ સળગતા મુદ્દે આદિવાસી મતો મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. નવસારીમાં હાર-જીતનો દારોમદાર આદિવાસી મતો પર રહેલો હોવાથી બંને મુખ્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે 28 એપ્રિલના રોજ આવનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે આદિવાસી સમાજનો અસંતોષ કઈ પાર્ટીને ભારે પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:51 pm

26 એપ્રિલે અમદાવાદ મનપાની ચૂંટણીનું મતદાન:38 લાખ મતદારો માટે 4257 બુથ ઊભા કરાયા, 15 હજાર પોલીસકર્મી તૈનાત

અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે. મતદાર અને ઉમેદવારોના આંકડાઅમદાવાદમાં અંદાજે 38 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાં 19.67 લાખ પુરુષો અને 18.33 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. 48 વોર્ડની કુલ બેઠકો માટે 652 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે બે બેઠકો પર બિનહરીફ વરણી થઈ ચૂકી છે. કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 877 રદ થયા હતા અને 22 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી વ્યવસ્થા અને EVM ની વિગતચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે મોટા પાયે સંસાધનો ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં 30,000 વહીવટી કર્મચારીઓ, શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. ગરમીને ધ્યાને રાખી વિશેષ સુવિધાઓચૂંટણીના દિવસે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. દરેક મતદાન અને મતગણતરી કેન્દ્રો પર પાણી અને ORS ની સુવિધા ઉપલબ્ધ રહેશે. મોબાઈલ મેડિકલ ટીમ અને ફર્સ્ટ એઈડ કીટની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારોને ગરમીથી બચાવવા માટે કેન્દ્રો પર શેડ (માંડવા) બનાવી ઠંડકની વ્યવસ્થા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:49 pm

ત્રણ ગલૂડિયાને કોથળામાં નાખી મહિલા કારમાં લઈ ગઈ, CCTV:સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાયો

વડોદરામાં પ્રાણી પ્રત્યે ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટી પાસે રહેતા ત્રણ ગલૂડિયાને ચાર મહિલાઓ દ્વારા કોથળામાં ભરી કારમાં લઈ જવાતા હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ચાર મહિલાઓએ મળી ત્રણ ગલૂડિયાને બોરીમાં પૂરી દીધા!બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, મૂળ અમદાવાદના અને ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા તથા પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે જોડાયેલા સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત તારીખ 15 એપ્રિલના સાંજના સમયે પંચમ ડુપ્લેક્સ, રઘુકુળ સ્કૂલ પાસે ચાર અજાણી મહિલાઓએ શ્વાનના ત્રણ નાના ગલુડિયાઓને પકડીને એક બોરીમાં પૂર્યા હતા. પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવીત્યારબાદ, એક ફોર-વ્હીલર કારના ચાલકે ત્યાં આવી આ ગલુડિયા ભરેલો બોરો કારમાં મૂકી દીધો હતો અને ગલુડિયાઓને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાણી પ્રેમી સંસ્થા પીપલ ફોર એનિમલ-2 અને કેરએસ્ટે ફાઉન્ડેશનના સ્વયંસેવક ચંચલબેન વશીક દ્વારા આ વીડિયો સમીરભાઈને મોકલવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પ્રાણી પ્રેમી કાર્યકરો દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ગલુડિયાઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે, અબોલ જીવો પ્રત્યેની આ ક્રૂરતા બદલ સમીરભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે ગલુડિયાઓને ક્યાં લઈ જવામાં આવ્યા છે અને આ મહિલાઓ કોણ હતી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:45 pm

તાપીમાં ચૂંટણી ફરજ પરના કર્મીઓએ કર્યું મતદાન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, વ્યારા ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી ચૂંટણીના દિવસે કાયદો-વ્યવસ્થા અને મતદાનની કામગીરીમાં વ્યસ્ત રહેલા કર્મચારીઓ તેમના મતાધિકારથી વંચિત ન રહે. વ્યારામાં આયોજિત આ પ્રક્રિયામાં વિવિધ વિભાગના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે લોકશાહીમાં દરેક મત કિંમતી છે, અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ અગાઉથી મતદાન કરીને પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. વહીવટી તંત્ર તમામ બેઠકો પર તટસ્થ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા સજ્જ છે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ હવે સામાન્ય જનતા માટેના મતદાનના દિવસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:44 pm

સાંસદ મનસુખ વસાવાએ નારાજગીની વાત નકારી:દીકરીને ટિકિટ ન મળવા છતાં ભાજપના ઉમેદવારોને જીતાડવા હાકલ

રાજપીપળા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે સાંસદ મનસુખ વસાવા તેમની દીકરીને ટિકિટ ન મળવાને કારણે નારાજ હોવાની વિપક્ષ દ્વારા ફેલાવાતી અફવાઓનું તેમણે જાહેરમાં ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ દિલ્હીમાં સંસદ સત્રમાં હાજર હતા અને હવે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. સાંસદ વસાવાએ જણાવ્યું કે, તેમની દીકરી સક્ષમ હોવા છતાં પાર્ટીના નિયમો મુજબ ટિકિટ મળી ન હતી, જેમાં કોઈ મોટી વાત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમારા માટે પાર્ટી મહાન છે. મારા શરીરના લોહીના છેલ્લા ટીપામાં પણ ભાજપ જ છે. દિલ્હીથી પરત ફર્યા બાદ તેમણે નેત્રંગમાં સભા સંબોધી હતી. તેમણે વિપક્ષોને પડકાર ફેંકતા કહ્યું કે, મનસુખ વસાવા મેદાનમાં જ છે. તેમણે આશા વ્યક્ત કરી કે જિલ્લા, તાલુકા અને પાલિકાઓની તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે અને વિપક્ષોનો સફાયો થઈ જશે. તેમણે ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવી અને કહ્યું કે પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે, તેથી તેમના કે તેમના પરિવાર માટે ભાજપ સિવાય કોઈ કામગીરી નથી. વસાવાએ વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવાના નજીકના મોટાભાગના આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપની વિચારધારા સાથે જોડાયા છે. તેઓ સમજી ગયા છે કે ગામ કે તાલુકામાં વિકાસ કરવો હોય તો ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ચૈતર વસાવા જે પુલ પરથી ચાલીને ઘરે જાય છે, તે રસ્તો અને બ્રિજ ભાજપ સરકારે બનાવ્યો છે, જે તેમણે રજૂઆત કરીને મંજૂર કરાવ્યો હતો. સાંસદે ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની યાદી આપી, જેમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો, લાઇબ્રેરીઓ સહિત મોટા શૈક્ષણિક વિકાસ, રોડ-રસ્તા, પાણી અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારત બનાવશે, જેમાં કોઈ બે મત નથી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:42 pm

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદો-વ્યવસ્થા જાળવવા માર્ગદર્શિકા જાહેર કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ ૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાન મથકો પર કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ જાળવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર, મતદાનના દિવસે દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશ દ્વાર પાસે નિયત લાઇનમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે પ્રવેશ મેળવવાનો રહેશે. મહિલાઓ માટે અલગ લાઇન હશે અને દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સિનિયર સિટિઝન્સને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે. મતદારે પોતાની લાઇન મુજબ ક્રમાનુસાર જ મતદાન મથકમાં પ્રવેશ કરી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મત આપ્યા બાદ મતદારોએ મતદાન મથક કે તેના પ્રતિબંધિત વિસ્તારમાં બિનજરૂરી રોકાયા વગર તુરંત ત્યાંથી રવાના થવું પડશે. આ જાહેરનામું આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના મતદાનના દિવસે સમગ્ર જિલ્લામાં જ્યાં ચૂંટણી યોજાનાર છે, તે તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ આદેશોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:40 pm

હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડ તસિયા રોડ પરથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (GJ-31-X-2387)માં વિદેશી દારૂ હિંમતનગર શહેર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સુંદરગઢ ગામની સીમમાં સ્ટેટ હાઈવે રોડ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમીવાળી રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે અને પાછળની સીટમાં રાખેલા થેલાઓમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 111 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹47,320ની કિંમતનો દારૂ, ₹5,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને ₹70,000ની કિંમતની સીએનજી રિક્ષા સહિત કુલ ₹1,22,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાત (ઉંમર 19, રહે. અણસોલ, તા. ભિલોડા, જિ. અરવલ્લી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:40 pm

પોદ્દાર સ્કૂલમાં ઇંગ્લેન્ડના કિરણ લેઈએ ડાન્સ શીખવ્યો:વિદ્યાર્થીઓને ફ્રીસ્ટાઇલ ડાન્સના સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવાડ્યા

હિંમતનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કિરણ લેઈ આવ્યા હતા. મંગળવારે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને ડાન્સના વિવિધ સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવ્યા હતા. કિરણ લેઈનું વિદ્યાર્થિનીઓએ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરીને તેમનું અભિવાદન કર્યું. સ્કૂલના આચાર્યએ સન્માનરૂપે કિરણ લેઈને એક કાર્ડ, ફૂલછડી અને તેમનું ચિત્ર ભેટ આપ્યું હતું. કિરણ લેઈ ઇંગ્લેન્ડના જાણીતા સ્ટ્રીટ ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે, જે તેમની અનોખી ડાન્સ સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમણે ઉપસ્થિત સૌ સામે સ્ટેજ પર એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પછી, કિરણ લેઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને તેમને વિવિધ ડાન્સ સ્ટેપ્સ અને ટેકનિક્સનું માર્ગદર્શન આપ્યું. આ ઇન્ટરએક્ટિવ સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવી કળા શીખવાનો અવસર મેળવ્યો. બે કલાકના આ રોકાણ દરમિયાન કિરણ લેઈ વિદ્યાર્થીઓ માટે મનોરંજક અને પ્રેરણાદાયક સાબિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:38 pm

સેન્ટ ઝેવિયર્સ કોલેજ વિવાદોના ઘેરામાં!:મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત રખાયાનો આક્ષેપ, ABVPએ ફીના નામે ઉઘાડી લૂંટ અને અન્યાયી નીતિઓનો વિરોધ કર્યો

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત ABVPના કર્ણાવતી મહાનગર સહ-મંત્રી પ્રિયમ ભાટિયાએ જણાવ્યું કે, અનેક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ હોવા છતાં કોલેજ સત્તાધીશો તેમને પરીક્ષામાં બેસવા દેતા નથી. આ નીતિને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. '₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે'વિદ્યાર્થી નેતાના જણાવ્યા અનુસાર, કોલેજ દ્વારા આયોજિત ઇવેન્ટ્સ કે કાર્યક્રમોમાં જે વિદ્યાર્થીઓ હાજર નથી રહેતા, તેમની પાસેથી ₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. જો પેનલ્ટી ન ભરે, તો તેમની એટેન્ડન્સ કાપી નાખવામાં આવે છે અને માર્કશીટ કે સર્ટિફિકેટ અટકાવવાની ધમકી આપવામાં આવે છે. પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યોજ્યારે આ મુદ્દે પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે ઇવેન્ટના નામે પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે, ABVPએ જ્યારે આ બાબત લેખિતમાં આપવાની માંગ કરી, ત્યારે પ્રશાસને મૌન સેવી લીધું હતું. ABVPએ આંદોલનની ચીમકી ઉચ્ચારીABVP દ્વારા આજે કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પ્રિયમ ભાટિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:38 pm

હિંમતનગર: ચૂંટણી માટે PR, APR, FPO ને તાલીમ અપાઈ:પોલીટેકનીક કોલેજમાં મતદાન મથકની કામગીરી શીખવાડાઈ

હિંમતનગર: આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, હિંમતનગરની પોલીટેકનિક કોલેજના એકેડેમી બિલ્ડીંગ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવનાર પ્રિસાઈડીંગ ઓફિસર (PR), આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલી આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકાના 88 મતદાન મથકો પર ફરજ બજાવનારા 128 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 137 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 211 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયત અને સાત જિલ્લા પંચાયત બેઠકોના 269 મતદાન મથકો માટે 306 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 330 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 580 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન મથક પર પહોંચ્યા પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી કેવી રીતે સુચારુ રીતે પાર પાડવી તે અંગેની જાણકારી આપવાનો હતો. તાલીમ સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી એમ બે સેશનમાં યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:31 pm

જ્વેલર્સ સર્કલ પાસે ધોળા દિવસે ચોરી:તસ્કરોએ માત્ર પોણા બે કલાકમાં ઘરનો નકુચો તોડી કબાટ સાફ કર્યો; સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની વિગતો: ક્યારે અને કેવી રીતે બની ચોરી?સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ઉષાબેન જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 7 એપ્રિલના રોજ તેમના પતિ નોકરી પર હતા. બપોરે 12.15 કલાકે ઉષાબેન તેમના પુત્ર અને દિયરની દીકરી સાથે રેલવે ટર્મિનસ પાસે વાડીમાં જમવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરી દાગીના ચોરી નાસી છૂટ્યા હતા. શું-શું ચોરાયું?તસ્કરો કબાટમાંથી સોનાની બે ચેઈન, બે ચુડી, પોંચી, પાંચ ચુક, કાનની સર, ઓમકાર, પેંડલ અને વીંટી. તો ચાંદીના 4 જોડ છડા, 3 પોંચી, મંગળસૂત્ર, ગાય, 2 કંદોરા અને જાંજરી મળી કુલ ₹1,97,709ના દાગીનાની ઉઠાવી ગયા હતાં. પોલીસ કાર્યવાહીતસ્કરોએ પરિવારની અવરજવર પર અગાઉથી વોચ રાખી હોવાની શક્યતા છે, કારણ કે માત્ર 1 કલાક અને 45 મિનિટના ટૂંકા ગાળામાં જ મકાન શોધીને ચોરીને અંજામ અપાયો છે. બપોરે 2 વાગ્યે પરિવાર પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 305(A), 331(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:27 pm

વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ

વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેમનો હેતુ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક સંદીપ ફાક્વિર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાક્વિર નામના બે ભાઈઓએ વિદેશ જવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળવો મુશ્કેલ હતો. આથી, તેઓએ યુકે (UK) ના વિઝા મેળવવા માટે આ ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોય, તો તેમને યુકેના વિઝા સરળતાથી મળી શકે છે. આ બંને ભાઈઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હતા, પરંતુ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળી શકતો નહોતો. આથી, તેઓએ વલસાડ નગરપાલિકાના નકલી જન્મના દાખલા બનાવ્યા અને તેના આધારે આધાર કાર્ડ તથા પાનકાર્ડમાં સુધારા કરાવી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે પાસપોર્ટ અરજી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે આવી, ત્યારે પોલીસને શંકા ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે, નગરપાલિકામાં જે નંબરના જન્મ પ્રમાણપત્રો રજૂ કરાયા હતા, તેવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નહોતા. એસઓજી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340(2), 61(2) અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:25 pm

વેરાવળમાં રાજકીય ભાષણો બન્યા વિવાદનું કેન્દ્ર:સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે પોલીસ કાર્યવાહીની માંગ કરી

વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ઉશ્કેરણીજનક અને અશોભનીય ભાષાના ઉપયોગથી શહેરની શાંતિ જોખમાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરતા સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે આ મામલે સક્રિયતા દાખવી છે. સમાજના પ્રમુખ અને પૂર્વ નગરસેવક અફઝલ પંજા સહિતના આગેવાનોએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા પર જાહેર ભાષણોમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. આગેવાનોએ જણાવ્યું કે વેરાવળ શહેર હંમેશા શાંતિ અને સહઅસ્તિત્વ માટે જાણીતું છે. જોકે, અમુક રાજકીય વ્યક્તિઓ દ્વારા સ્વાર્થ ખાતર કરવામાં આવતા 'વાણી વિલાસ'થી સમાજમાં વેરઝેર ફેલાઈ શકે છે. આનાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ફરિયાદમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. જો આવા કૃત્યોને રોકવામાં નહીં આવે તો નિર્દોષ નાગરિકોને તેનો ભોગ બનવું પડી શકે છે. આ વિવાદ અંગે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ મળી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને જો કોઈ વાંધાજનક બાબત સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય ગરમાવા વચ્ચે આવી ઘટનાઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. શહેરની શાંતિ જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની હોવાથી, આ મામલે તેમની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:23 pm

ઇન્ડિયા કોલોનીમાં ભાજપના પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તાને માર પડ્યો:સ્થાનિકે કહ્યું, અહીંયા આવવું નહીં, ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું; ફરિયાદ નોંધાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાજપના ઉમેદવારો લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ને સ્થાનિકોમા રોષ જોવા મળ્યોમળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં. ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. કોલર પકડીને ભાજપના કાર્યકરને લાફો મારી દીધોઅશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. ભાજપના કાર્યકરે ફરિયાદ નોંધાવીહસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પ્રકાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. ત્યારે અશોક મિલની નવી ચાલી પાસે પણ જ્યારે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક રાઉન્ડમાં ગયા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈપોલીસ ફરિયાદ મુજબ માત્ર એક જ ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:23 pm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:ઉનાળુ વેકેશન પૂર્વે એક્ઝામ, ચૂંટણીના કારણે 3 દિવસ રજા મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઉનાળુ વેકેશન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી પડી હતી જોકે આ વખતે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ત્રણ દિવસની રજા મળશે અને તેથી 30 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યા છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં આજે 21 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સેમેસ્ટર -2 માં બી.એ.માં 17948 તો બી.કોમ.માં 16595 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બી.સી.એ.માં 5990, બી.બી.એ.માં 5295, બીએસ.સી.માં 1861 અને એમ.એ.માં 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 25 કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે કારણકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તા.25,26 અને 27 એપ્રિલના રજા રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:20 pm

પાવીજેતપુરમાં કારનો ભૂક્કો અને ટ્રેક્ટરના બે ફાડિયા:સુસ્કાલ ગામ પાસે એક્સિડન્ટમાં કારચાલક શખસનું મોત, એરબેગ ખુલી પણ જીવ ન બચી શક્યો

પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન સોલંકી (55) તારીખ 20ની રાત્રિએ પોતાની કાર લઈને પાવીજેતપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સુસ્કાલ ગામ પાસે સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ અને કરુણ મોતઅકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં રાકેશ સોલંકીને ડાબા પગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ કાર્યવાહીઘટના અંગે જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. દાંડિયા બજારના રહીશના આકસ્મિક અવસાનને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:14 pm

પારડીમાં 1.27 લાખના હેરોઈન સાથે ગેરેજ સંચાલક ઝડપાયો:વડોદરા કનેક્શન ખુલ્યું, ગેરેજની આડમાં છૂટક વેચાણ કરતો હતો

વલસાડ જિલ્લાના પારડીમાં પોલીસે ડ્રગ્સ વેચાણના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે દરોડો પાડીને 1.27 લાખથી વધુની કિંમતના બ્રાઉન હેરોઈન સાથે એક ગેરેજ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પારડી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, દોલતનગર વિસ્તારમાં આવેલી વિશ્રામ હોટલની પાછળ, અલીફ રો-હાઉસના મકાન નંબર 9માં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 45 વર્ષીય અસફાક સફીઉલ્લા શેખ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી અને મકાનની તપાસ કરતા 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 1,27,600 રૂપિયા છે. આ ઉપરાંત, 25,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન, હેરોઈન ભરવા માટેની 1 ઝીપલોક થેલી અને પ્લાસ્ટિકના 7 ટુકડા સહિત કુલ 1,53,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો વડોદરાના ‘બાજ (સરદાર)’ નામના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આરોપી અસફાક આ જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વોન્ટેડ આરોપી બાજ (સરદાર) ને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસ નશાના આ કારોબારમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:14 pm

સુરેન્દ્રનગરમાં EVM-VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા:પાટડી, ચોટીલા, થાનગઢના રૂટ નંબર- 5 પર મતદારોને જાગૃત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાનો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. પાટડી અને ચોટીલા ખાતેના નિદર્શનમાં નાગરિકોને EVM દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી. આ જનજાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો કરવો અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર 5 પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો. અનેક મતદારોએ ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:09 pm

રાજકોટમાં મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યું પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું છે, ગેનીબેન ઠાકોર જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા

મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેશનલ સેક્રેટરી સુભસીની યાદવે આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો માટે વિરોધ કરવામાં આવ્યો છે. આજે જ કોઈ શરતો વગર બિલ પાસ કરવામાં આવે તો અમારું સમર્થન છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ આ બિલ પસાર થવું જોઇએ પરંતુ આ વાતથી સરકાર સહમત નહિ થાય. મહિલા આરક્ષણ બિલને લઇ ગઈકાલે ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવમાં આવી હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી સુભાસીની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ બિલના સમર્થનમાં છીએ. વિપક્ષ ઇચ્છે છે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરીને આ બિલ પસાર થવું જોઇએ. મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ લાવી અને તેના કારણે આજે અનેક મહિલાઓ સ્થાનિક ચૂંટણીઓ લડીને સંસદ સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના એક માત્ર મહિલા સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે જેઓ પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાસીની યાદવએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ જમીની હકિકતથી બહું દૂર રહે છે. આ સ્થાનિક ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થાય છે. લોકો રોડ રસ્તા, વરસાદી પાણી ભરાવા જેવા અનેક મુદ્દાઓથી ત્રસ્ત છે. લોકોમાં એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકા કે દિલ્લીની ચર્ચાઓ ન થાય પરંતુ સ્થાનિક ચર્ચાઓ થાય જેથી લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખુબ સારું આવતી ચૂંટણીમાં જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:06 pm

સુરતમાં આજે ફરી ટ્રેનમાં 8 હજારથી વધુ મુસાફરો વતનની વાટે:ઉધના સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાથી લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા, ચાર ટ્રેન હાઉસફૂલ

સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. આજે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. હોલ્ડિંગ એરિયામાં રાતથી જ જમાવડો, લાઈનબદ્ધ રીતે પ્રવેશગત રવિવારે(19 એપ્રિલ) થયેલી અફરાતફરી બાદ રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. મુસાફરો મંગલવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે મુસાફરોને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે આજે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી. ચાર ટ્રેનો હાઉસફૂલ, વેકેશન અને અછતનું બેવડું ભારણસુરતમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજાઓ પડી ગઈ છે, સાથે જ હીરા અને કાપડના કેટલાક એકમોમાં પણ રજાનો માહોલ છે. બીજી તરફ, યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે રાંધણગેસની અછત ઉભી થતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિબળોને કારણે આજે યુપી અને બિહાર તરફ જતી ચારેય સ્પેશિયલ ટ્રેનો પેક(હાઉસફૂલ) થઈને રવાના થઈ હતી. RPF અને GRPનો ચુસ્ત બંદોબસ્તમુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે. આ પણ વાંચો 19 એપ્રિલે પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ હતી. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન.. આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન. (જુઓ વીડિયો) ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી હતી જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે 20 એપ્રિલે ઉધના સ્ટેશને આવ્યા હતા. જનરલ મેનેજરે સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળોની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જો કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના ભાસ્કર પાસે વીડિયો હોવાછતાં તેમણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચા)

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 3:02 pm

ભરૂચમાં મતદાન જાગૃતિ અભિયાન શરૂ:ગંધારમાં કામદારોને મતદાન માટે પ્રેરિત કરાયા

ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. આ અભિયાનના ભાગરૂપે, વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. દરિયાકાંઠાના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અગરિયા ભાઈઓ-બહેનોને 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયામાં અનિવાર્યપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કામદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત, ટીમ દ્વારા ગંધારના રહેણાંક વિસ્તારોમાં ઘર-ઘર જઈને મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા અને લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:56 pm

ચાવંડ બેઠક પર ભાજપ ઉમેદવાર સોનલ ડેરનો પ્રચાર:લોકસાહિત્યકાર માયા આહીરની દીકરીએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેર દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. સોનલ ડેર ભાજપના મહિલા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે 'જય ભાજપ વિકાસ'ની પત્રિકાઓનું ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ડેર લોકસાહિત્યકાર માયા આહીરની દીકરી છે. તેમના સસરા જીતુ ડેર પણ જિલ્લા ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ બેઠક રાજકીય રીતે અમરેલી અને તળાજા-મહુવા વિસ્તારમાં ચર્ચાસ્પદ માનવામાં આવે છે. હાલ અહીં કોઈ મોટા નેતાઓની સભાઓ યોજાઈ નથી, પરંતુ ડોર-ટુ-ડોર પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:54 pm

અમરેલીમાં પાનની દુકાન પર છરી હુમલો:CCTV ફૂટેજ વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યા

અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પર જાહેરમાં છરી વડે હુમલો કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી છરી પણ કબજે લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિરાજભાઈ મહેબૂબભાઈ કુરેશી ડીલક્ષ પાનની દુકાન પર બેઠા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા અને દુકાન સાથે ભટકાવ્યું હતું. સિરાજભાઈએ તેમને ધ્યાનથી વાહન ચલાવવાનું કહેતા આરોપીઓને આ વાત પસંદ ન આવતા તેમણે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સિરાજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક્ટિવામાંથી છરી કાઢી પાછળથી ત્રણ ઘા માર્યા હતા. આ હુમલામાં સિરાજભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના પાનની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એસપીની સૂચના બાદ સિટી પીઆઈ એમ.એમ. ઝાલાની ટીમે દાદલીમિયા રફીકમિયા સૈયદ, ઇરફાનભાઈ રફીકભાઈ સૈયદ અને અજુમિયા રફીકમિયા સૈયદ (રહે. અમરેલી) નામના ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. સિરાજભાઈ કુરેશીની ફરિયાદના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:54 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી: EVMમાં પીળું બટન ફરજિયાત:ચાર મત બાદ દબાવવું ફરજિયાત, એક જ યુનિટ વપરાશે

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ EVM માં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજિસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે તો તેનું મતદાન નિષ્ફળ જઈ શકે છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને કર્મચારીઓને EVM પર મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,08,999 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર 101 ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થશે. આ વખતે EVM મશીનની કામગીરીમાં મહત્વનો ફેરફાર કરાયો છે. દરેક મતદારે કુલ 4 મત આપવાના રહેશે. મશીનમાં 13 ઉમેદવારોના નામ અને પ્રતીક સામે વાદળી બટન, એક નોટા માટેનું બટન અને વધારાનું એક પીળા રંગનું બટન રાખવામાં આવ્યું છે. મતદારે પોતાની પસંદગીના 4 કે તેથી ઓછા ઉમેદવારોને મત આપી દીધા બાદ બીપનો અવાજ આવે એટલે અંતે પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત છે. નોટાનો ઉપયોગ કરનાર મતદારે પણ નોટાનું બટન દબાવ્યા બાદ પીળું બટન દબાવી મતદાન પૂર્ણ કરવાનું રહેશે. મતદાન પ્રક્રિયામાં સુધારાની પણ તક આપવામાં આવી છે. જો કોઈ મતદારને 4 કે તેથી ઓછા બટન દબાવ્યા બાદ લાગે કે ભૂલથી ખોટા ઉમેદવારને મત અપાઈ ગયો છે, તો તે જ ઉમેદવારના નામ સામેનું બટન ફરીથી દબાવીને તે મત રદ કરી શકશે અને ત્યારબાદ અન્ય પસંદગીના ઉમેદવારનું બટન દબાવી શકશે. પાટણના તમામ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા 13 કે તેથી ઓછી હોવાથી દરેક બૂથ પર માત્ર એક જ મતદાન યુનિટ (EVM) વપરાશે. આનાથી મતદાન અને મતગણતરી બાદ સીલિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને પરિણામો પણ વહેલા જાહેર થશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:51 pm

ફાટસર ગણપતિ મંદિરે ભક્તો ઉમટ્યા:હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો, ધ્વજારોહણ કરાયું

સુરેન્દ્રનગરના સ્વયંભુ ફાટસર ગણપતિ મંદિરે વૈશાખ સુદ ચોથ, ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આસપાસના ગામો અને બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દિવસે સવારે ભગવાનને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજ પૂજન, શૃંગાર દર્શન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પૂજા બાદ સાધુ-સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બપોરે 12:30 વાગ્યે આશરે 5000 શહેરીજનો અને મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો. આ રીતે, શહેરના જગવિખ્યાત ફાટસર ગણપતિ મંદિરે ગણેશ ચોથની ઉજવણી ધામધૂમ અને ઉત્સાહભેર સંપન્ન થઈ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:47 pm

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શિબિર:બાળકોમાં ધાર્મિક સંસ્કાર સિંચન હેતુ પક્ષાલ પૂજાનું આયોજન

સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું છે. તાજેતરમાં જ તેમણે પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 200 પક્ષીઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ત્રણ સ્થળોએ પીવાના પાણીની પરબ અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લખતર પ્રાથમિક શાળામાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ સમય ન બગાડે અને જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરાયું છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે. સિલ્વર ગ્રુપ વર્ષોથી દેરાસરમાં પક્ષાલ પૂજાના આયોજન માટે સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે 6 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે, આજે અમિઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલ પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવનાર બાળકોને સિલ્વર ગ્રુપ અને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આ સુંદર કાર્યનો લાભ લેવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સેક્રેટરી પંકીલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલથી 31 મે સુધી દર રવિવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:40 pm

બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો

ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન PSI એન.પી. સેલોત અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવી કંકુથાંભલા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:33 pm

લખનઉથી 1008 યાત્રિકો સોમનાથ પહોંચ્યા:'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોરઠી સંસ્કૃતિથી ભવ્ય સ્વાગત

સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવને દેશભરમાં ઉજાગર કરવાના હેતુથી ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પર્વ અંતર્ગત આજે સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી 1,008 યાત્રિકોનો વિશેષ સમૂહ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સોરઠી લોકસંસ્કૃતિથી સ્વાગત રેલવે સ્ટેશન પર યાત્રિકોનું સોરઠી પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાંના નાદ અને પરંપરાગત લોકનૃત્યો સાથે ‘જય સોમનાથ’ના ઉદ્ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રથમ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને અસ્મિતાથી માહિતગાર કરવાનો છે. 3 દિવસીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસ આ યાત્રિકો આગામી 3 દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ આસપાસના પવિત્ર સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન તેમને મંદિરના સ્થાપત્ય, પ્રાચીન પરંપરાઓ અને આક્રમણો સામે અડીખમ રહેલા ભારતના પ્રતીક સમાન સોમનાથના ઇતિહાસ અંગેની માહિતી આપવામાં આવશે. યાત્રિકો મુલાકાત પૂર્ણ કરી 4 થા દિવસે પરત ફરશે. વહીવટી તંત્રની સજ્જતા યાત્રિકોની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડિયાની દેખરેખ હેઠળ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા-જમવાની વ્યવસ્થા: વિવિધ સરકારી વિભાગોના સંકલનથી સુનિશ્ચિત કરાઈ. પરિવહન: યાત્રિકો માટે સ્થાનિક સ્તરે બસ અને વાહનોની સુવિધા. સહયોગી વિભાગો: શિક્ષણ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને નગરપાલિકા તંત્ર કાર્યરત. આગામી આયોજન ‘સ્વાભિમાન પર્વ’ના આગામી તબક્કામાં દેશના અન્ય શહેરોમાંથી પણ વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓને સોમનાથ લાવવાનું આયોજન છે. આ અભિયાન દ્વારા વિવિધ પ્રાંતના લોકો સોમનાથની સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત થશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:30 pm

ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પ્રાથમિક સુવિધા મુ્દ્દો:પાણી, આરોગ્ય સહિત સુવિધાઓ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ, 9918 મતદારોનો ફેંસલો કરશે

મોરબી જિલ્લાની નવનિર્મિત ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીનો જંગ જામ્યો છે. ગ્રામ પંચાયતમાંથી અપગ્રેડ થયા બાદ પાલિકા તરીકેની આ પહેલી જ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. જોકે, રાજકીય પક્ષોના જીતના દાવાઓ વચ્ચે સ્થાનિક મતદારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈટ, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. મતદારોનું ગણિતટંકારા ગ્રામ પંચાયત વિસ્તાર ઉપરાંત જબલપુર ગ્રામ્ય વિસ્તારની આર્યનગર સોસાયટીનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે હવે પાલિકાના કુલ મતદારોની સંખ્યા 9,918 પર પહોંચી છે. આ મતદારો પ્રથમ વખત નગરપાલિકાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી મેદાનમાં 6 વોર્ડમાં ઉમેદવારોવોર્ડ 1: ભાજપના જયેશ ભટાસણા, ભારતી પાંચોટીયા, મનિષા દુબરીયા અને સિરાજ અબ્રાણી સામે કોંગ્રેસના કુમાર ત્રિવેદી, જ્યોત્સના લો, મહેશ મેરા અને મિતલ કક્કડ મેદાનમાં છે. બસપા તરફથી કનૈયાલાલ બાબરીયા સહિત 3 ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ 2: ભાજપના જયસુખ સારેસા, મનિષા દતેસરીયા, મુકેશ ભૂકુ અને સરોજ ખોખાણીનો સામનો કોંગ્રેસના ગિરિશ ઘેટિયા, જીનત મોડ, નિલેશ રાઠોડ અને સિધ્ધિ પાચોટીયા સાથે થશે. વોર્ડ 3: ભાજપના અર્જુન ઝાપડા, જયદીપ જાની, પાયલ કુકડિયા અને પુનમ આશર સામે કોંગ્રેસના ગીતા દુબરીયા, પરેશ ફેફર, મંજુલા ઝાપડા અને રમેશ ભુંભરીયા નસીબ અજમાવી રહ્યા છે. વોર્ડ 4: અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ભાજપના આરીફ ભુંગર અને સલીમ માડકીયા સામે કોંગ્રેસના અબ્દુલ ચૌધરી અને ગફાર ભુંગર મેદાનમાં છે. જ્યારે બસપા અને અપક્ષ ઉમેદવાર કનુ ઝાંપડા પણ રેસમાં છે. વોર્ડ 5: ભાજપના આશા કટારીયા, પંકજ કારેલીયા, મુક્તા મેરજા અને રશ્મિકાંત દુબરીયા સામે કોંગ્રેસના નાગજી ઝાંપડા, રોશન સેરસીયા, સુનિતા ગોધાણી અને હસમુખ જીવાણી વચ્ચે મુકાબલો છે. વોર્ડ 6: ભાજપના અકશાબાનુ સોહવંદી, નિશા મહેતા, પ્રતિક આચાર્ય અને મીરાજ કટારીયા સામે કોંગ્રેસના ગોપાલ ઝાંપડા, સલીમ ભાણુ, મિના ત્રિવેદી અને હેતલ ગૌસ્વામી ચૂંટણી લડી રહ્યા છે. 'સુવિધા આપો, વોટ લો'ટંકારાના શહેરી વિસ્તારમાં વસતા લોકોનું કહેવું છે કે પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પરંતુ સુવિધાઓમાં હજુ કોઈ સુધારો થયો નથી. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અનિયમિતતા અને ખખડધજ રસ્તાઓ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ જનતા આ વખતે પાયાની સુવિધાઓના આધારે જ મતદાન કરવાના મૂડમાં જણાય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:25 pm

વહીવટી તંત્ર સામે ભીમ આર્મી અને દલિત સમાજનું રણશિંગું.:'કરો કૌભાંડ, લૂંટો દેશ' માણાવદરના 39 કરોડના કૌભાંડ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અનુ.જાતિ સમાજનું કલેક્ટરને આવેદન; ચૂંટણી બૂથ બહાર પ્રદર્શનની જાહેરાત

​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે. માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા, આગામી 25 અને 26 એપ્રિલ દરમિયાન ચૂંટણી બૂથની મર્યાદા બહાર જનજાગૃતિ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, માણાવદર તાલુકામાં થયેલા અંદાજે 39 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5 થી વધુ અરજીઓ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવેદનકર્તાએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય પક્ષોને સભાઓ માટે તુરંત મંજૂરી મળી જાય છે, પરંતુ પ્રજાના હક અને સરકારની નાકામીયાબીના પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી. આવેદનમાં વહીવટી તંત્ર પર સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવાયું છે કે, કુકસવાડા અને માખીયાળા જેવા વિસ્તારોમાં જ્યાં વિરોધ પક્ષના ધારાસભ્યો હતા ત્યાં તંત્રએ તાત્કાલિક ગુના દાખલ કર્યા હતા. જ્યારે માણાવદરમાં છેલ્લા 10 વર્ષથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો હોવાથી કૌભાંડ હોવા છતાં કોઈ તપાસ થતી નથી. આવેદનકર્તાના જણાવ્યા મુજબ, અધિકારીઓ પણ બદલી કે જેલના ભયથી સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો વર્ષ 2016 થી પેન્ડિંગ છે. અમે 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હોવા છતાં તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા પગાર અને સુવિધાઓ મેળવે છે, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. ​ • ​પ્લોટ ફાળવણીમાં રાજકારણ: ગ્રામ્ય વિસ્તારોમાં 100 ચોરસ વારના પ્લોટના ફોર્મ ભરવા માટે ભાજપને મત આપવાના સોગંદ લેવડાવવામાં આવતા હોવાનો આક્ષેપ. • ​શિક્ષણ પર પ્રહાર: ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિની છાત્રાલયો છેલ્લા 6 વર્ષથી બંધ હોવા છતાં કોઈ નવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. • ​વિરોધ પ્રદર્શન: આગામી 25/04/2026 થી 26/04/2026 દરમિયાન ચૂંટણી બૂથની નિર્ધારિત રેન્જની બહાર પોસ્ટરો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવશે. ​આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે મારી માટી મારો દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ; જો કોઈ કરે વિરોધ તો કરો એની ઉપર ખોટા કેસ. દલિત સમાજે સ્પષ્ટ કર્યું છે કે જો તેમના 21 મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાળવા ચોકથી લઈને નામદાર કોર્ટ સુધી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે...

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:21 pm

વડોદરામાં મુખ્યમંત્રીના VVIP બંદોબસ્ત સમયે પોલીસકર્મી પર હુમલો:મહિલા સહિત 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી, સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી, 3 સામે ગુનો નોંધાયો

વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણની ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકી કોન્વોય પસાર થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત સમાપ્ત થવાનો મેસેજ મળ્યા બાદ પોલીસે દુમાડ ચોકડી પાસે વાહનોને નિયમ મુજબ રોકી માર્ગ વ્યવસ્થા જાળવી હતી. તે દરમ્યાન એક હોન્ડા પેશન બાઈક પર સવાર વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય એક યુવાન તથા ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને એક આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, સાથે આવેલી એક મહિલાએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિકભાઈ બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ, ( ત્રણેય રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:17 pm

ગઝવા એ હિન્દની સ્થાપનાના સપના જોતા બે આતંકવાદીઓ ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ; ગુજરાત ATSનું ઓપરેશન

ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ ફંડ ભેગા કરવાની અને બોમ્બ બનાવવાની પણ તૈયારી કરી હતીગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સમાન વિચારધારા ધરાવતા લોકો એક ગ્રુપથી સંપર્કમાં હતાજે બાદ ઈરફાનની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગ્રુપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલા લોકોને મારવા માટે અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:16 pm

ખેડુતવાસમા ગાય ભડકતા બે પડોશી વચ્ચે મારામારી-પથ્થરમારો:ચાર ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 5 સામે ફરિયાદ

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં નાના બાળકના કારણે એક ગાય ભડકતા આ ગાયએ બાળકને અડફેટે લેતા બે પાડોશી વચ્ચે પથ્થરમારો અને મારામારી સર્જાઇ હતી. આ મારામારીમાં એક બાળા સહીત ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવને લઈને ઘોઘારોડ પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગાય પસાર થઈને દીકરીને પછાડી દીધીમળતી વિગતો અનુસાર, ખેડૂતવાસ વિસ્તારમાં રૂવાપરી રોડ નજીક રહેતા સીતાબેન કાંતિભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે ફરિયાદીના ભાઈ દિનેશ મકવાણાનો પાંચ વર્ષીય પુત્ર અલ્પેશ ઘર બહાર શેરીમાં રમતો હોય એ દરમિયાન ગાય પસાર થતાં અલ્પેશે બંને હાથ ઊંચા કરતા ગાય ભડકી હતી અને દોડતી આગળ જતા પડોશમાં રહેતા સુરેશના ભાઈની દીકરીને અડફેટે લઈ પછાડી દીધી હતી. બિભત્સ ગાળો ભાંડીને પથ્થર મારો કર્યોપડોશી કિસ્મત ગોહેલ, લખન ગોહેલ, અશ્વિન ગોહેલ, સુરેશ ગોહેલ અને પવન ગોહેલ સીતાબેનના ઘરે ઝઘડો કરવા આવ્યા હતાં અને તમામ શખ્સોએ ફરિયાદી તથા તેના પરિવારને બિભત્સ ગાળો ભાંડી પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં દિનેશ, શાંતુબેન, દિનેશની પત્ની અંજુ, તથા દિનેશની પુત્રી પ્રિયાને ઈજા પહોંચી હતી. શખ્સોએ ઘર પર પથ્થર મારો કરી બારી બારણાના કાચ તેમજ અન્ય નુકસાન કરી ફરિયાદી તથા તેના પરિવારને તમને છોડવાના નથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 5 સામે ગુનો નોંધાયોઆ ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને સીતા કાંતિભાઈ મકવાણાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચેય શખ્સો વિરુદ્ધ BNS એક્ટ 115(2), 351(3), 352, 125(a), 324(4), 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:10 pm

પાળીયાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની 119મી વર્ષગાંઠ:મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ધજા આરોહણ કરાયું

બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા જૈન દેરાસરમાં ભગવાન શ્રી શાંતિનાથની ૧૧૯મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના પાવન દિવસે, ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારના રોજ યોજાયો હતો. આ નિમિત્તે ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાળિયાદના અનેક શ્રાવકોએ આ પ્રસંગને ધાર્મિક મહત્વનો ગણાવ્યો હતો. ભગવાન શ્રી શાંતિનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 2:06 pm

થલતેજના ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખવાના બહાને લૂંટ:'અવાજ મત કરના વરના ચપ્પુ માર દેંગે' કહીને 4 શખ્સો લૂંટ કરીને ભાગ્યાના CCTV

અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પહેલાં બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યામૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા 57 વર્ષીય મુલસિંગ શિવજી પુરોહીતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ થલતેજમાં સહજાનંદ કોમ્પલેક્ષમાં ભાડે રાજવંશી ગેસ્ટ હાઉસ ચલાવે છે. 20 એપ્રિલે વહેલી સવારે હોટેલના મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ હાજર હતા. ગીરીરાજ જ્યારે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા હતાં. ગીરીરાજ તેમને રૂમ બતાવવા ગયો ત્યારે અચાનક તેઓએ તેને પકડી લીધો હતો અને પૈસા ક્યાં છે? તેવું પૂછીને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મેનેજરને કાઉન્ટર પાસે લાવ્યા ત્યારે ત્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. 'આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે' કહીને લૂંટ કરી આ શખ્સોએ ચપ્પુ બતાવીને ધમકી આપતા કહ્યું હતું કે, આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે. એટલું જ નહીં એક વ્યક્તિ કોમ્પલેક્ષની સીડીમાં ઉભો રહીને રેકી કરી રહ્યો હતો. લોકર તોડીને રોકડ સહિત 92 હજારની લૂંટ કરીને ભાગ્યાચારેય શખ્સોએ લોકર તોડીને કાઉન્ટર અને લોકરમાંથી 72000 હજાર રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ સહુતની કુલ રૂ. 92,000ની લૂંટ કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:54 pm

સંસ્કારી નગરી વડોદરા ભક્તિના રંગે રંગાશે:શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના 150 વર્ષ પૂર્ણ થતાં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન, 30 હજાર જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા, શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે

સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23 એપ્રિલથી સાત દિવસ ભવ્ય ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલથી 29 એપ્રિલ 2026 દરમિયાન વડોદરાની ધરા પર આધ્યાત્મિકતાનો અપૂર્વ સંગમ જોવા મળશે. પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને સ.ગુ. કે. કે. શાસ્ત્રીજીના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સરધારના પ્રસિદ્ધ વક્તા પ.પૂ. સ.ગુ. નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 200 વર્ષ પૂર્વેની ચલે ગજ બૈઠ કે મહારાજા સવારીને યાદ અપાવતી ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા (શોભાયાત્રા) પણ નીકળશે. મહોત્સવ દરમિયાન માનવસેવાના વિવિધ પ્રકલ્પો જેમ કે મહાવિષ્ણુયાગ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી નયન પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી 150 વર્ષ પૂર્વે આ વડોદરા ખાતે સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાન આપી અને સરસ ભવ્ય દિવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કરાવેલું હતું. વાડી વિસ્તારની અંદર આવેલું સ્વામિનારાયણ મંદિરએ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એ 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ વડોદરા ખાતે લેપ્રેસી ગ્રાઉન્ડમાં ઉજવવા જઈ રહ્યા છીએ. 23 થી લઈને 29 એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવ ઉજવાશે. જેની અંદર 23 થી 27 તારીખ સુધી શ્રીમદ સત્સંગી જીવનની કથા પરમ પૂજ્ય વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના મુખેથી સાંભળવાનો લાભ આપણને પ્રાપ્ત થશે. ભવ્ય દિવ્ય મહોત્સવનું આયોજન, અનેક આયોજનો આ સાથે કરવામાં આવેલા છે. જેની અંદર સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, ભવ્ય દિવ્ય બાલમંચ, મહિલા મંચનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આ મહોત્સવની અંદર જે અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો પધારશે એમના માટે પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરરોજ 30000 જેટલા લોકો ભોજન લઈ શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. ઉનાળો છે એટલા માટે અહીંયા મંડપની અંદર કથા બધા ભક્તો શ્રવણ કરી શકે એટલા માટે ઘણા બધા પંખાઓ, મોટા ફેન, સાથે સાથે સ્પ્રિંકલર, કુલર, એસીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દરરોજ અનેક પ્રકારના શરબતોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એટલે કે તારીખ 28ના રોજ ભવ્ય દિવ્ય મંદિરથી લઈ ગેંડીગેટ અને સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેની અંદર ભવ્ય આતિશબાજી થશે અને ઘણા બધા સંતો-મહંતોના પણ આપણને દર્શન થશે. સમગ્ર વડોદરાવાસી ધાર્મિક જનતા, સમગ્ર હિન્દુ સનાતન ધર્મના બધા જ ધર્મપ્રેમી ભક્તોને અમે સાદર આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવના દર્શન, લાભ લેવા માટે અવશ્ય પધારશો. મુખ્ય અતિથિ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર રાકેશપ્રસાદજી મહારાજશ્રી, સાથે સાથે હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ વડોદરા ખાતે રહેલા આચાર્યશ્રીઓ છે એમને પણ અમે ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે. રાજકીય વિભાગની અંદર પણ અમે આમંત્રણ પાઠવેલું છે. પોતપોતાના સમય અનુસાર બધા જ પધારશે. વિશેષ કરીને ગાયકવાડ સરકારના જે અત્યારે વંશજો છે એમને પણ અમે બહુ પ્રેમથી આમંત્રણ પાઠવેલું છે, એ પણ આ મહોત્સવની અંદર પધારશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:51 pm

SP યુનિવર્સિટીમાં શિક્ષણ સુધારવા વિશેષ પહેલ:5 દિવસીય 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન' ટ્રેનિંગનો પ્રારંભ

સરદાર પટેલ યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના IQAC વિભાગે NITTTR ભોપાલના સહયોગથી 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન એન્ડ એસેસમેન્ટ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) શરૂ કર્યો છે. 20 થી 24 એપ્રિલ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં પ્રોફેસરોને પરિણામલક્ષી શિક્ષણની આધુનિક પદ્ધતિઓ શીખવવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે સંવાહક પ્રોફેસર અલકા મેકવાને તાલીમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ FDPનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવા પૂરતું શિક્ષણ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ વાસ્તવિક જગતમાં શું શીખ્યા અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે દિશામાં પ્રોફેસરોને સક્ષમ બનાવવાનો છે. શિક્ષણ-અધ્યયન પદ્ધતિમાં નવીનતા લાવવા માટે આવા આયોજન અનિવાર્ય છે. NITTTR ભોપાલના ડિરેક્ટર ડૉ. નિશિત દુબેએ માર્ગદર્શન આપતા કહ્યું કે, આજના હાઈટેક યુગમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન' એક મહત્વપૂર્ણ સાધન છે. તેમણે પ્રોફેસરોને નવી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, સમય સાથે બદલાતી શિક્ષણ નીતિ જ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે NEP-2020 પર ભાર મૂક્યો હતો. કુલપતિએ સ્પષ્ટ કર્યું કે, નવી શિક્ષણ નીતિના દૃષ્ટિકોણને સાકાર કરવા માટે આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન એક શક્તિશાળી માધ્યમ છે. પ્રોફેસરોની ક્ષમતા વધવાથી જ યુનિવર્સિટીના શૈક્ષણિક ધોરણો મજબૂત થશે અને ગુણવત્તાસભર શિક્ષણ છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકશે. સમગ્ર કાર્યક્રમના અંતે પ્રોફેસર અલકા મેકવાને આભારવિધિ કરી હતી. આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ પ્રોફેસરોને જ્ઞાનનું નવું શિખર સર કરવામાં મદદરૂપ થશે અને યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણને વધુ સુદ્રઢ બનાવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:51 pm

ધક્કા મારીને ક્રેટા કાર ચોરી જતા ચોર CCTVમાં કેદ:નારણપુરામાં તસ્કરો ક્રેટા લઈને આવ્યા ને ક્રેટા કાર ઉપાડી ગયા

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક ક્રેટા કારની ચોરીનો બનાવ બન્યો છે. ચોકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતાં. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારને ધક્કો મારીને લઈ જતા ચોર પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. નારણપુરા પોલીસે ચોરી અંગે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ચોર ક્રેટા લઈને આવ્યા ને ક્રેટા કાર ઉપાડી ગયાનારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે 2024 માં જૂનામાં ક્રેટા કારની ખરીદી કરી હતી. 17 એપ્રિલ 2026 ના તેમણે તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી. ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા 20 એપ્રિલના વહેલી સવારે પ્રશાંતભાઈને તેમના ભાઈને શિવરંજની ખાતે લેવા જવાનું હતું જેથી તેઓ 5 વાગ્યે ઉઠ્યા ત્યારે તેમની ગાડી ઘરની બહાર નહોતી. પ્રશાંતભાઈએ આજુબાજુ તપાસ કરી પરંતુ તેમની કાર મળી આવી નહોતી. કારમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિત અલગ અલગ ડોક્યુમેન્ટ હતા. જે ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા હતા. સીસીટીવીમાં ચોર ક્રેટા કારને ધક્કા મારતા દેખાયાક્રેટા કારની ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અન્ય ક્રેટા કારમાં ચોર આવ્યા હતા જેમણે ક્રેટા કારની ચોરી કરી હતી. ચોર ક્રેટા કારને ધક્કા મારતા પણ દેખાઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:39 pm

બજરંગ દળે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:લવ જિહાદ અને ગેરકાયદે દબાણો સામે કાર્યવાહીની માંગ

બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સંગઠને પાંચ મુખ્ય મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્રમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા 'લવ જિહાદ'ના કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠને હિન્દુ કન્યાઓના શારીરિક શોષણ અને ધર્માંતરણના બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે. બજરંગ દળે આ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમણે વહીવટી તંત્રને શાંતિ અને સદ્ભાવ જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:39 pm

ઘર વાપસી કરનાર ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાનું નિવેદન:'તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે'

તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા પૂર જોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ- દશ ઘર જ મુસ્લિમ લોકોના છે. આપણા લોકો સાત આઠ મુસ્લિમ લોકોથી ઘરથી ડરતા હોય છે. જ્યારે આપણા 500 ઘર હોય તો પણ ડરતા નથી. આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે. એ લોકો 5થી 7 લોકો આપણી વચ્ચે રહેવા આવે તો પણ કેવું કરીશું, શું કરીશું. આવું કરતા હોય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે. એ આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. TP 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે.આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપ એ રામ સંત લોકોની પાર્ટી છે. અહીંના ઉમેદવારોએ વિસ્તાર માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે. તેમની ખાતરી હું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 19માંથી જીત્યા હતા. મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:26 pm

‘હર્ષ સંઘવી હીરા વેપારીઓને ધમકી આપે છે’:ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સને લઈને ભાજપ પર સાધ્યું આકરું નિશાન; કહ્યું-વિચાર્યા વગરના આયોજનથી ડાયમંડ બુર્સ ખાલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 3માં આયોજિત એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરત ડાયમંડ બુર્સના મુદ્દે સરકારની નીતિ અને આયોજન પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરામર્શ વગર લીધેલા નિર્ણયોને કારણે આજે કરોડોનું આંધણ થયા છતાં વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. 4000 કરોડનો ખર્ચો પણ આયોજન શૂન્ય: ઇટાલીયાગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઈ આયોજન જ નથી. 4000 કરોડના તોતિંગ ખર્ચે સુરત ડાયમંડ બુર્સ બનાવી તો દીધું, પણ બનાવતા પહેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનુભવી માણસો સાથે મીટિંગ કરવાની તસ્દી ન લીધી. જો 50 જેટલી મીટિંગો કરીને વેપારીઓના સૂચનો લીધા હોત, તો આજે આ ડાયમંડ બુર્સ ખાલી ન હોત. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર 'હું સૌથી મહાન' દેખાડવાની લ્હાયમાં બિલ્ડિંગ ઊભું કરી દેવાયું છે. હર્ષ સંઘવી પર ધમકી આપવાનો આક્ષેપગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ લીધા વગર કે પ્રત્યક્ષ ઉલ્લેખ સાથે ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, હવે વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે કે ઓફિસો ત્યાં લઈ જાવ, નહીંતર જોઈ લેવામાં આવશે. મહિધરપુરા અને મિની બજારમાં જઈને વેપારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે, જો આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જ નથી, તો વેપારીઓ ત્યાં જઈને શું કરે? ‘ફ્લાઇટ નથી, હોટેલ નથી, હીરા વેચવા ક્યાં?’ઇટાલિયાએ પાયાની સુવિધાઓ અંગે સરકારને ઘેરતા કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ તો બનાવી દીધું, પણ હોંગકોંગ, દુબઈ, અમેરિકા કે કેનેડાની સીધી ફ્લાઇટ ક્યાં છે? ત્યાં ફાઈવ સ્ટાર હોટલો કે જ્વેલરીની મોટી કંપનીઓનું કનેક્શન ક્યાં છે? ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વગર હીરા કેવી રીતે વેચાશે? જો કોઈ ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તે આ ધંધો ન કરવાની સલાહ આપત. ‘ડાહ્યો માણસ પૂછીને નિર્ણય લે, ગાંડો નિર્ણય લીધા પછી પૂછે’પોતાની આગવી શૈલીમાં કટાક્ષ કરતા ઇટાલીયાએ કહ્યું કે, ડાહ્યો માણસ હંમેશા સૌની સલાહ લઈને નિર્ણય લે છે, જ્યારે ગાંડો માણસ પહેલા નિર્ણય લઈ લે છે અને પછી ગામમાં પૂછવા જાય છે કે મેં બરાબર કર્યું ને? ભાજપની હાલત પણ કંઈક આવી જ છે. અમે લોકોને પૂછીને કામ કરીએ છીએ: AAPઅંતમાં તેમણે આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિના વખાણ કરતા જણાવ્યું હતું કે, અમે ભલે નવી અને નાની પાર્ટી છીએ, પણ અમે લોકો સાથે હળી-મળીને અને તેમને પૂછીને નિર્ણયો લઈએ છીએ. એટલે જ આજ દિન સુધી અમારો કોઈ નિર્ણય ખોટો પડ્યો નથી કે અમારે પાછા પડવાની નોબત આવી નથી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:18 pm

ચૂંટણી પ્રચારમાં નવો ટ્રેન્ડ, ઉમેદવારો રેલીથી રીલ સુધી પહોંચ્યા:AIથી ભાજપે મતદારોના મિજાજનો વીડિયો બનાવ્યો, તો AAPએ અપૂરતી સુવિધાની બતાવી; રાજકોટમાં ગરમી વધતાં પ્રચારનો સમય ઘટ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માત્ર રેલી સભા સુધી સીમિત ન રહી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી દરેક ઉમેદવારો રેલીથી શરૂ કરી રીલ સુધી પહોંચી ગયા છે. તેમાં પણ સામાન્ય રીલની સાથે સાથે મતદારોને રીઝવવા માટે AIનો પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. જેમાં શાસક પક્ષે આર્ટિફિશિયલ મતદારોના મિજાજ થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જયારે આમ આદમી પાર્ટી દ્વારા અપૂરતી સુવિધા, અને 30 વર્ષના શાસનમાં અપૂરતા વિકાસ સામે બદલાવ જરૂરી છે અને એક મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા માંગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છેરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પદયાત્રા અને પત્રિકા વિતરણ થકી ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આ પદયાત્રા રેલી સભામાં પણ કાર્યકર્તાઓની પંખી હાજરી ચિંતાનો વિષય બની રહેતા આ વખતે હવે ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો દરરોજ પોતાના વિસ્તારની રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને તેમાં પણ સ્ટેપ આગળ AI મદદથી પણ રીલ બનાવી સોશિયલ મીડિયા થકી મતદારોના વિશાળ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BJPએ એઆઈ રીલ બનાવીને આર્ટિફિશિયલ મતદારોને સવાલો કર્યાભાજપના ઉમેદવાર દ્વારા AI મારફત રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટની જનતાને ખરેખર BJPએ શું આપ્યું ત્યાંથી રીલની શરૂઆત કરી આગામી ચૂંટણીમાં જીત કોની થશે તેનો સીધો સવાલ પ્રજાને પૂછીશું કહી આર્ટિફિશિયલ મતદારોને સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેમાં રોડ, રસ્તા, સફાઈ, ટીપરવાન, ઓનલાઇન વેરા વસુલાત જેવી બાબતોને આવરી લઇ સબ સલામતના દાવા સાથે રીલ તૈયાર કરવામાં આવી છે. જો કે અંતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ સ્થાનિક મુદ્દાના બદલે અયોધ્યા રામ મંદિર અને ઓપરેશન સિંદૂરના ફોટા મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો AAPએ સવાલ પૂછી રીલની શરૂઆત કરીબીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોશી દ્વારા પણ AI મદદથી ખાસ રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ રાજકોટના મતદારોને રાજકોટના રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો સવાલ પૂછી રીલની શરૂઆત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં સુવિધાઓ મેળવવા મનપા કચેરીએ લાગતી લાઈનો, અપૂરતી સુવિધા અને 30 વર્ષનું ભાજપ સરકારનું શાસન છતાં યોગ્ય સુવિધા ન આપ શક્યાના આક્ષેપ સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે મતદારોના વિશાળ સમૂહને અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટમહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે નેતાઓ પૂરતો સમય પ્રચારમાં ફાળવી શકતા નથી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા આ વખતે ભાજપના ઉમેદવારોને વિસ્તારના તમામ લોકો સુધી પહોંચવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ગરમીના કારણે ઓછું મતદાન થશે તો રાજકીય પક્ષોની ચિંતામાં વધારો રિપીટ થયેલા ઉમેદવારો તો માની રહ્યા છે ગત ચૂંટણીમાં 21 દિવસ જેટલો સમય મળતા 3 વખત વિસ્તારમાં પ્રચાર થઇ ચુક્યો હતો આ વખતે એક વખત પણ માંડ માંડ પૂર્ણ થઇ શકશે. તેવામાં ગરમીના કારણે ઓછું મતદાન થશે તો તે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જરૂરથી કરાવશે. તેમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટ ફાળવણી બાદની નારાજગી પક્ષને નુકશાન પહોંચાડે તો નવાઈ નહિ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:07 pm

15 હજારથી વધુ EVM મશીનોનું સીલિંગ કાર્ય સંપન્ન:સુરત મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માટે 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, ટેકનિકલ ખામી નિવારવા 15% મશીનો રિઝર્વ રખાયા

રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં છે. સૌથી મહત્વપૂર્ણ ગણાતી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના સીલિંગની કામગીરી હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં અત્યંત પારદર્શક રીતે કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની આશંકા ન રહે. 9000 બેલેટ યુનિટ અને 6000 કંટ્રોલ યુનિટ તૈયારચૂંટણી પંચના આંકડા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં કુલ મળીને 9000થી વધુ બેલેટ યુનિટ અને 6000થી વધુ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવનાર છે. સીલિંગ પ્રક્રિયા દરમિયાન દરેક બેલેટ યુનિટમાં વોર્ડ દીઠ ઉમેદવારોના નામ, તેમના ફોટા અને પક્ષના ચિહ્ન સાથેના બેલેટ પેપર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. આ મશીનોને ખાસ પિંક પેપર સીલથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લા સ્તરે આ કામગીરી પૂરજોશમાં પૂર્ણ થયા બાદ હવે તમામ મશીનોને નિર્ધારિત ડિસ્પેચ સેન્ટરો પર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. CCTV અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમસીલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને અત્યંત સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. મશીનોની સુરક્ષા માટે 24 કલાક હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે, જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા સતત કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, મતદાનના એક દિવસ અગાઉ એટલે કે 25મી એપ્રિલ સુધી આ મશીનો કડક સુરક્ષા હેઠળ જ રહેશે. 25મી એપ્રિલે પ્રિસાઈડિંગ ઓફિસરોને થશે સોંપણીઆગામી 25મી એપ્રિલના રોજ વહેલી સવારથી ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ વિતરણની કામગીરી શરૂ થશે. પ્રિસાઈડિંગ ઓફિસર અને તેમની પોલિંગ ટીમ જે તે મતદાન મથક માટે ફાળવવામાં આવેલા ઈવીએમ અને અન્ય સામગ્રી સ્વીકારીને પોલીસ પ્રોટેક્શન હેઠળ રવાના થશે. મતદાન મથક પર પહોંચ્યા બાદ મશીનોની ફરી એકવાર ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દરેક ઝોન વાઈઝ રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેથી પરિવહન દરમિયાન કોઈ વિલંબ કે સમસ્યા ન સર્જાય. 15 ટકા ઈવીએમ રિઝર્વ: ટેકનિકલ ખામી સામે તંત્ર સજ્જઘણીવાર મતદાનના દિવસે ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ મશીનો બંધ પડી જવાની ફરિયાદો આવતી હોય છે. આ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 15 ટકા ઈવીએમ વધારાના ફાળવવામાં આવ્યા છે. જો કોઈ બૂથ પર મશીનમાં ખામી સર્જાય તો સેક્ટર ઓફિસર પાસે રહેલા રિઝર્વ મશીન દ્વારા તેને મિનિટોમાં બદલી શકાશે. આ ઉપરાંત, સ્ટાફને ઈવીએમના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેથી માનવીય ભૂલની શક્યતા નહિવત રહે. ચૂંટણીના દિવસે વહેલી સવારે 'મોક પોલ' યોજાશેમતદાન શરૂ થવાના એક કલાક અગાઉ, એટલે કે 26મી એપ્રિલની વહેલી સવારે વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં 'મોક પોલ' (નકલી મતદાન) રાઉન્ડ યોજવામાં આવશે. આ રાઉન્ડમાં મશીન બરાબર કામ કરી રહ્યું છે અને તેમાં કોઈ અગાઉથી મતો સંગ્રહિત નથી તેની ખાતરી કરવામાં આવશે. મોક પોલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ડેટા ક્લિયર કરીને પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા મશીનને ફરીથી સીલ કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતદારોની જાગૃતિ અને સુરક્ષા પર ભારસુરત વહીવટી તંત્ર દ્વારા મતદારોને ઈવીએમથી મતદાન કેવી રીતે કરવું તે અંગે સમજાવવા માટે ખાસ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરો પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. તંત્રનો ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદાન કરાવવાનો અને પ્રક્રિયાને પારદર્શક રાખવાનો છે. પોલીસ કમિશનર દ્વારા પણ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની ફોર્સ તહેનાત કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતનું વહીવટી તંત્ર લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:04 pm

ગોધરામાં સર્કલ હટાવતા અકસ્માતો વધ્યા:મેડ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે સ્થાનિકોએ ફરી સર્કલ બનાવવાની માગ કરી

ગોધરાના મેડ વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પરથી સર્કલ હટાવી લેવાતા અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો દ્વારા આ સર્કલ ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર સુરક્ષિત બની શકે. વહીવટી તંત્ર દ્વારા મેડ કાલાભાઈ પેટ્રોલ પંપથી સિંગલ ભરીયા રોડ તરફ જતાં રસ્તા પરથી અગાઉનું સર્કલ કોઈ અગમ્ય કારણોસર દૂર કરવામાં આવ્યું હતું. આ સર્કલ હટાવ્યા બાદથી આ ટ્રાફિક પોઈન્ટ અત્યંત જોખમી બન્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સર્કલ ન હોવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ રહેતું નથી, જેના પરિણામે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશ અયુબભાઈ કલંદરના મતે, સર્કલ હટાવ્યા બાદ અહીં દરરોજ ત્રણથી ચાર અકસ્માતો થાય છે, જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે. અયુબભાઈએ વધુમાં જણાવ્યું કે, આજે પણ એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે ફરીથી સર્કલ બનાવવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા સુધારી શકાય.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 1:03 pm

સુરેન્દ્રનગર વોર્ડ-4 ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન:પૂર્વ પ્રમુખોની ઉપસ્થિતિમાં કાર્યકરોનો ઉત્સાહ વધ્યો, ચૂંટણી પ્રચાર શરૂ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડમાંથી અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અન્ય ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ મનહરસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખોની ઉપસ્થિતિ રહી હતી. સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપના વિકાસના કામોને જન-જન સુધી પહોંચાડી વોર્ડ નંબર-4 ના તમામ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વોર્ડ નંબર-4 ના ઉમેદવાર જામાભાઇ ગરીયા અને મિલીંદભાઇની સાથે નગરજનો અને સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અગાઉ બિનહરીફ થયેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં મનહરસિંહભાઈ રાણા (શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ), જીગ્નાબેન પંડ્યા (જૂનાગઢ મહાનગર પ્રભારી તથા પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), વિરેન્દ્રભાઈ આચાર્ય (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), નિલેશભાઈ શેઠ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), અને જીજ્ઞાસાબેન નાયક (ઉપપ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ) નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:58 pm

ગીર સોમનાથમાં સાંસદની 'બ્રાન્ડ સામે માલ' ટિપ્પણી:નવદ્રા બેઠકની સભામાં રાજકીય માહોલ ગરમાયો

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આવું જ એક આક્રમક નિવેદન નવદ્રા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યું છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઘણા લોકો રાજકારણમાં આવી પોતાનો માલ વેચવા નીકળે છે. પરંતુ જેનો માલ નબળો હોય એને જ વેચવા નીકળવું પડે... બ્રાન્ડને ક્યારેય વેચવું પડતું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની 'બ્રાન્ડ' ગણાવી હતી. આ ટિપ્પણી બાદ રાજકીય વર્તુળોમાં ગહન ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષો આ નિવેદનને અહંકારપૂર્ણ અને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના સમર્થકો તેને પક્ષના આત્મવિશ્વાસ અને વિકાસના એજન્ડા સાથે જોડીને જોઈ રહ્યા છે. આ વખતે ગીર સોમનાથમાં ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ પૂરતી મર્યાદિત રહી નથી. આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણીનું સમીકરણ ત્રિકોણીય બની ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોના પ્રભાવને કારણે મુખ્ય પક્ષોના ગણિતમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે, અપક્ષ અને નાના પક્ષો વોટ કટર સાબિત થઈ શકે છે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસ બંનેના પરિણામો પર પડી શકે છે. આ જ કારણ છે કે મુખ્ય પક્ષોના નેતાઓ હવે પ્રચાર દરમિયાન વધુ આક્રમક ભાષા અને વ્યૂહરચના અપનાવી રહ્યા છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધાઈ હતી, જે પક્ષ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, આવા આક્રમક નિવેદનો મતદારોમાં ધ્રુવીકરણ લાવે છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં હવે દરેક શબ્દ, દરેક નિવેદન અને દરેક સભાનું મહત્વ વધી ગયું છે. ગીર સોમનાથમાં હાલ રાજકીય જંગ માત્ર મત મેળવવાનો નથી, પરંતુ છબી, પ્રભાવ અને સંદેશાના યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:49 pm

કોંગ્રેસ વોર્ડ 9 ના ઉમેદવારોનો ખેરાળીમાં જનસંપર્ક:મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર કોર્પોરેશન ચૂંટણી યોજાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસ વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉમેદવારો ખેરાળી ગામ પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસપાસના ગામોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે, જે એક મહત્વપૂર્ણ ઘટના છે. કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારના મતદારો સમક્ષ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાઈ આવશે, તો લોકોના પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક અને ઝડપથી નિકાલ કરશે. તેઓ પોતાના એજન્ડા સાથે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:49 pm

હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર ફૂલો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને વિવિધ ફૂલો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા. ભક્તો દ્વારા ભગવાનને વિશેષ સેવા તરીકે 108 પ્રકારના રાજભોગ અર્પણ કરાયા હતા. આ પછી, 'ચૂર્ણ અભિષેક' વિધિ યોજાઈ, જેમાં સાત પવિત્ર નદીઓના જળ સમાવવામાં આવેલા 108 પવિત્ર કળશોથી અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન, ભક્તોએ ઋગ્વેદના પુરુષ સૂક્તનું પઠન કરીને મહાપ્રભુનો મહિમા કર્યો. ઉત્સવનું સમાપન મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવ સાથે થયું. આ પ્રસંગે ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:31 pm

AAPના 'હવાલા કાંડ'માં ITની એન્ટ્રી:દિલ્હીથી આંગડિયામાં આવેલા ₹1.25 કરોડથી ગરીબોને ખરીદી 'બબાલ' કરાવવાનો હતો પ્લાન, પોલીસ તપાસમાં ખુલાસો

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1.25 કરોડનું હવાલા ટ્રાન્ઝેક્શનક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી મુજબ, દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ સુરતની આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિધરપુરાની 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીમાં છેલ્લા 5-6 મહિનામાં અંદાજે 1.25 કરોડ આવ્યા હતા. આ રકમ લેવા માટે સુરતનો આકાશ મિશ્રા અને અજય તિવારી વારંવાર જતા હતા. આકાશ મિશ્રાની અટકાયત બાદ હવે પોલીસ અને આઈટી વિભાગ આ નાણાં કયા કયા ઉમેદવારોના ખિસ્સા સુધી પહોંચ્યા તેની તપાસ કરી રહી છે. હિમાંશુ પાહુજાનું દિલ્હીના 'મંત્રી' સાથે સીધું કનેક્શનતપાસમાં સૌથી મહત્વનું પાત્ર હિમાંશુ પાહુજા છે, જે આમ આદમી પાર્ટીના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું માનવામાં આવે છે. આંગડિયા મારફતે નાણાં મોકલવા પાછળ હિમાંશુનો મુખ્ય હાથ હતો. આ કેસમાં 8 થી 10 લોકોની એક આખી સિન્ડિકેટ સક્રિય છે, જે ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેરનું સંચાલન કરે છે. પોલીસ હવે દિલ્હી જઈને હિમાંશુની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેથી ફંડના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકાય. આંગડિયા પેઢીના CCTV ફૂટેજે પોલ ખોલીપોલીસે જે આંગડિયા પેઢીમાં નાણાં આવ્યા હતા તેના માલિકની પૂછપરછ કરી છે અને ત્યાંથી મહત્વના CCTV ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં લેવા માટે આવતા સ્પષ્ટ દેખાય છે. આ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ રોકડ રકમ કયા વાહન દ્વારા અને કઈ રીતે સુરતના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવી, તેની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 'કેશ ફોર વોટ' અને હિંસાનો માસ્ટર પ્લાનપોલીસ અને આઈટીની તપાસમાં એક ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી આવેલી આ તોતિંગ રકમનો ઉપયોગ સુરતના રૂરલ વિસ્તારોના જરૂરિયાતમંદ મતદારોને રીઝવવા માટે થવાનો હતો. લાલચ આપીને મત મેળવવાની સાથે સાથે, આ મતદારોને ઉશ્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને હિંસક બબાલ કરાવવાનો પણ બદઇરાદો હતો. લોકશાહીને નાણાં અને હિંસાના જોરે પ્રભાવિત કરવાની આ રમતનો પોલીસે સમયસર પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સની એન્ટ્રીકરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. આઈટી અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસની તમામ ડિટેલ્સ મેળવી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આઈટી વિભાગ મોટા પાયે દરોડા પાડી શકે છે અને આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને 'મોટા ધડાકા' કરે તેવી શક્યતા છે. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે એજન્સીઓ કામે લાગી છે. આગામી દિવસોમાં 'મોટા માથાઓ' પર લટકતી તલવારહાલમાં પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈને તેને મુક્ત કર્યો છે, પરંતુ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ કેસમાં સુરતના કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ ઉછળે તેવી શક્યતા છે. હવાલા કાંડમાં જે રીતે હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે, તે જોતા સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. સુરત પોલીસ અને એજન્સીઓનું કડક વલણસુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. આઈટી વિભાગ સાથે મળીને પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ હવાલાના રૂપિયા અન્ય કયા કયા શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. પોલિટિકલ હવાલા કાંડમાં જેમ-જેમ કડીઓ જોડાતી જાય છે, તેમ તેમ 'આપ'ની મુશ્કેલીઓ વધી રહી છે. સત્ય બહાર લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયાના ચોપડાઓની પણ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:31 pm

વેરાવળ નજીક દરગાહમાં સિંહ-સિંહણ જોવા મળ્યા:મંડોર ગામનો વીડિયો વાયરલ થતાં કુતૂહલ અને ભય

ગીર પ્રદેશમાં સિંહોની વધતી સંખ્યાને કારણે હવે તેઓ માનવ વસાહતોની નજીક જોવા મળે છે. વેરાવળ નજીકના મંડોર ગામમાં બાલમશા પીરની દરગાહમાં સિંહ અને સિંહણની જોડી આરામ કરતી જોવા મળતા વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સિંહ-સિંહણની જોડી દરગાહના પરિસરમાં શાંતિપૂર્વક આરામ કરતી સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ સ્થાનિકોના મતે આ વીડિયો મંડોર ગામની ભાગોળે આવેલી બાલમશા પીર બાપુની દરગાહનો છે. આ ઘટનાએ ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ પણ સર્જ્યો છે. એક તરફ આ દુર્લભ દૃશ્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ સિંહોની આવી નજીક ઉપસ્થિતિને કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો માટે જોખમ વધ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વનવિભાગના સૂત્રો અનુસાર, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ નવી ટેરિટરી શોધવા ગામડાઓ તરફ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વનવિભાગે લોકોને સાવચેતી રાખવા, રાત્રે એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવા અપીલ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વ અંગે ચર્ચા જગાવી છે. ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા અને માનવ વસ્તીના સંરક્ષણ બંને માટે યોગ્ય આયોજન જરૂરી બન્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:18 pm

'મનપા બની છે તો દબાણો હટાવો, રોડ-રસ્તાની સુવિધા આપો':'50 વર્ષથી ટ્રેન ચાલતી હતી તે 5 વર્ષથી બંધ છે તેનું કારણ શું'?; રત્નકલાકારોના ગઢમાં બ્રિજનું કામ, ખરાબ રસ્તાથી હાલાકી

નવસારી મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ એટલે કે રત્નકલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી શહેરના વિકાસમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. રત્નકલાકારોના ગઢમાં દિવ્ય ભાસ્કરની ટીમ મતદારોનો મિજાજ જાણાવા પહોંચી હતી. વોર્ડ નંબર 2માં વિકાસના કામો થયા હોવાના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ જેવી કે ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને આંતરિક રોડ રસ્તાની હાલત હજુ પણ કથળેલી છે. આ વોર્ડમાં બ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને બાયપાસ રોડ છે તે રોડ બિસમાર હાલતમાં છે. જેથી વાહનચાલકોને ખુંબ મુશ્કેલી પડી રહી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ચાલતી ટ્રેન પણ બંધ કરી દેવાઈ છે જેથી મુસાફરોને ખુબ હાલાકી પડી રહી છે. સ્થાનિકોની માગ છે કે, નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બની છે તો સારા રોડ રસ્તાની સુવિધા આપો. વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન બંધ કરાતા હાલાકીસ્થાનિક મનસુખ જાદવે જણાવ્યું કે, 50 વર્ષથી વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન ચાલતી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ ટ્રેન ચાલતી હતી. જે આજે 5 વર્ષ થઈ ગયા સાવ બંધ છે જે બંધ કરવાનું કારણ શું? ‘બે કલાક ડેપોમાં બેસીએ ત્યારે માંડ એક બસ મળે છે’વધુમાં જણાવ્યું કે, નાના માણસોને મુસાફરી માટે ખુબ તકલીફ પડે છે. બસો મળતી નથી અને લોકલ બસ મૂકે તો બે કલાક ડેપોમાં બેસવું પડે. 10 બસ પ્રાઈવેટ જાય પછી એક બસ મૂકે છે. પ્રાઈવેટ બસનું 50 રૂપિયા ભાડું છે. એ લોકો એવું ડેરીંગ વાપરે કે આપણે પ્રાઈવેટ બસ જ 50 રૂપિયાવાળી મૂકવાની. નાનો માણસ બે કલાક ડેપોમાં બેસે ત્યારે એને એક લોકલ બસ મળે, એ પણ ભીડવાળી મળે. માણસ બસમાં ચડે કેવી રીતે? ‘રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે’નાગજીભાઈએ જણાવ્યું કે, અહીં કામ તો કાંઈ થયું જ નથી. રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ સુવિધા નથી, પાણી વ્યવસ્થિત આપતા નથી. ટાંકામાં ગાબડાં પડી ગયા છે. એક ટાઈમ પાણી આપતા હતા હવે બે ટાઈમ કર્યું તો પાણી અડધો કલાક જ આપે અને અડધો વાલ જ ખોલે. મહિલાઓને પાણી ભરવા જવું પડે. વધુમાં જણાવ્યું કે, જેણે દબાણ કરેલા છે એને હટાવો અને સુવિધા આપો. મહાનગરપાલિકા બની હોય તો કંઈક રસ્તાની સુવિધા કરો, સારા રોડ બનાવો. જે જે સોસાયટીમાં નેતા ચૂંટાયા છે ત્યાં રોડ બનાવી નાખ્યા છે. બીજે ક્યાંય બનાવ્યા નથી. હંસગંગા અને રાધે સોસાયટી જેવા વિસ્તારોમાં રસ્તા એટલા ખરાબ છે કે રિક્ષાઓ પણ ઉંધી વળી જાય છે. ‘બ્રિજનું કામ ચાલુ હોવાથી અડધો કલાક વહેલું નીકળવું પડે છે’વોર્ડ નંબર- બેમાંથી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પટેલ જણાવે છે કે, મારા વિસ્તારમાં આ વિજલપોર ફાટક પર બ્રિજ બનાવવાનું કામ આ લોકોએ નિરંતર ચાર વર્ષથી ચાલુ રાખ્યું છે. આજે એ રસ્તો બંધ કરી દીધો છે, કોઈપણ બાયપાસ રોડ આપ્યા વગર. અમારે જો એરુ ચાર રસ્તા સુધી જવું હોય, તો અડધો કલાક પહેલા નીકળવું પડે, કારણ કે ઘેલખડીના રસ્તા બધા ખાડાવાળા છે. ‘પીવાના પાણીની સમસ્યા અવારનવાર ચાલ્યા કરે છે’પાણીની લાઈન નાખે ત્યારે રાધે પાર્કમાંથી લઈને ઘેલખડી થઈને ગોપાલનગર નીકળવું પડે. એટલો લાંબો બાયપાસ રોડ આપ્યો છે, પણ ત્યાં રોડના કોઈ ઠેકાણા નથી. પીવાના પાણીની સમસ્યા ઘેલખડીમાં અવારનવાર ચાલ્યા કરે છે. ગટર તો કાયમ ઉભરાતી રહે છે. ત્યાંના કેટલાય રહીશોનું એવું મંતવ્ય હતું કે ગટરનું કામ કરી આપો. અમે નગરપાલિકામાં ફરિયાદો કરી કરીને થાકી ગયા છીએ. નગરપાલિકાના બધા નેતાઓ જીતીને જતા રહે છે, પણ આજ સુધી કોઈ જોવા પણ નથી આવતું. ફોન કરી કરીને થાકી ગયા, પણ કોઈ સાંભળતું નથી. ‘કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે’સ્ટેશન વિસ્તારના ફાટકનો સવાલ છે, જે લોકોએ વિચાર્યા વગર બંધ કરી દીધું છે. એના કારણે જનતાને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. જલારામપુરમાં પીવાનું પાણી નથી. બંદરોડ પર જોઈએ તો કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે. ડાંભર રોડના કોઈ ઠેકાણા નથી. એટલે આ વખતે જનતા આ લોકોને પાઠ ભણાવશે. બીજી તરફ કેટલાક સ્થાનિકો મનપાની કામગીરીથી ખુશ પણ નજર આવ્યાં હતા. તેઓનું માનવું છે કે, તંત્રએ અનેક સમસ્યાનો હલ કર્યો છે. ‘ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થઈ’વોર્ડ નંબર-2ના સ્થાનિક મહેન્દ્ર સાવલિયાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બંદર રોડ, કોટન કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અને ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા હતી. તે સમસ્યા દૂર કરવા તેને વ્યવસ્થિત નિકાલ કરવા બ્લોક પેવરિંગ કરાયું જેના કારણે તેનો નિકાલ થઈ ગયો. રાયચંદ રોડની સ્કૂલ પર જર્જરિત બિલ્ડિંગ હતી જેના કારણે નાના છોકરા કે કોઈને હાની થવાની શક્યતા હતી, તે બિલ્ડિંગને ડિમોલેશન કરી અને ત્યાં બ્લોક નાખી, ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ થાય તે પ્રમાણેનું કામ કરાયું. ‘ભૂવા પડવાની મોટામાં મોટી સમસ્યા હવે હલ થઈ’શાળા નંબર-6માં કમ્પાઉન્ડ વોલ નહોતી, જેના કારણે પ્રાણીઓ અને પશુઓ ત્યાં પટાંગણમાં બેસી રહેતા હતા. જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. જલારામ સ્ટેશન પર અનેક ભૂવા પડતા હતા જે મોટામાં મોટી સમસ્યા હતી, જ્યાં ડ્રેનેજ લાઈન નખાઈ છે જેથી છેલ્લા પાંચ વર્ષથી ભૂવો તો શું પણ અત્યારે એક પણ ખાડો ત્યાં પડ્યો નથી. થાણે તળાવ ડેવલપ થાય છે, પાણીના સંગ્રહ માટે તો જલાલપોર વિસ્તારને ટૂંક જ સમયમાં એ પાણીની સમસ્યા દૂર થશે. વિરોધ પક્ષ અને જનતાનો આક્રોશ: 'બ્રિજના કામ અને ટ્રેનો બંધ થવાથી જનતા પરેશાન'પરિવહનનો પ્રશ્ન: વિજલપોર ફાટક પર છેલ્લા ચાર વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ છે. કોઈ વ્યવસ્થિત બાયપાસ ન હોવાથી લોકોને ઘેલખડીના ખાડાવાળા રસ્તેથી અડધો કલાકનો ચકરાવો લેવો પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 12:10 pm

રાજકોટમાં ચૂંટણીને લઈ EVM ની ચકાસણી કરાઈ:EVM માં બેટરી, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ તપાસી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ પશ્ચિમના મામલતદાર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદ નગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVM નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે 210 EVM નું ચેકિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. 30 જેટલા કર્મચારીઓ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18 ના EVM ની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્પીકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:55 am

કાળમુખી કારનો કહેર, શેરડીનો રસ પીતા બેને ફંગોળ્યા:ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા, ચાલક ફરાર; કાલાવડ હાઈવે પર અકસ્માતના CCTV સામે આવ્યા

કાલાવડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે (20 એપ્રિલે) બપોરે એક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ આજે આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા અને કારચાલકની બેદરકારીનો જીવંત પુરાવો બની રહ્યા છે. મૃતકોના નામ CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું? અકસ્માતની આ સમગ્ર ઘટનાા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલક જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. આગળ જઈ રહેલી એક બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર બાદ ચાર વ્યક્તિ હવામાં ફંગોળાયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે (રોડની સાઈડમાં) ઉતારી દીધું હતું, જ્યાં શેરડીના રસની કેબિન આવેલી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે, તે સીધી જ ચિચોડા પાસે ઉભેલા લોકો પર ફરી વળી હતી. ફૂટેજમાં ટક્કરની તીવ્રતા જોઈ શકાય છે, જેમાં ચારેય વ્યક્તિ હવામાં ફંગોળાયા હતા. ટક્કર માર્યા બાદ કાર રોડની નીચે આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. આ આખી ઘટના માત્ર ગણતરીની સેકન્ડોમાં બની ગઈ હતી. મૃતક કીર્તિબેન ચાનપાના પુત્ર મયુરે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે માતાનું મૃત્યુ, પિતાને ગંભીર ઈજા અને અયાન નામના 13 વર્ષના નિર્દોષ કિશોરના મોતનો જવાબદાર કારચાલક જ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દવા લીધા બાદ દંપતી કાલાવડ પરત પહોંચી યાર્ડ સામે ઉભા હતા. જ્યાં તેઓએ પુત્રને ફોન કરી લઈ જવા કહ્યું હતું. આ દરમિયાન જ જામનગર તરફથી આવતી કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં મહિલાનું મોત થયું હતું. કારચાલકની પત્ની અને પુત્રીને પણ ઈજાપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કારચાલક કાલાવડ ટાઉનમાં રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સમયે તેની કારમાં તેની પત્ની અને પુત્રી પણ બેઠા હતા. અકસ્માતમાં તેમને પણ ઈજાઓ પહોંચી છે, જેમને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા તેજ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર દબાણને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે માર્કેટયાર્ડની આસપાસ રોડ સાઈડમાં આવેલી ગેરકાયદેસર કેબિનો અને દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે અને બેદરકાર ડ્રાઈવિંગ સામે લોકોમાં ભારે રોષ છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજને મહત્વના પુરાવા તરીકે ગણી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:44 am

'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી':'હર દિન સુસાઇડ કરને કા થોટ આતા હે', ગાંધીનગર DPSની ધો.9ની વિદ્યાર્થિની અમદાવાદમાં ચીઠ્ઠી લખીને ગૂમ

'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવા પાછળ અભ્યાસનું દબાણ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે'ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. દીકરીના પિતા બિઝનેસ કરે છે અને તેમનો એક દિકરો ધો. 11માં જ્યારે દીકરી ધો. 9માં DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે(20 એપ્રિલ) બપોરે ઘરના સભ્યો જમીને પોતપોતાના રૂમમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ આધેડ તેના દિકરાને લઈને ટ્યુશન ક્લાસિસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાનમાં આધેડને તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે. 'મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી...આઈએમ સોરી'પત્નીનો ફોન આવતાની સાથે જ પિતા દિકરાને લઈને ઘરે પહોચી ગયા હતાં. પિતાએ ચીઠ્ઠી વાંચી તેમા દીકરીએ લખ્યું હતું કે, કોઈ ભાળ નહી મળતા પરિવારે ફરિયાદ નોંધાવીદીકરીની ચીઠ્ઠી વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ બાળકીને શોધવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો અને તેના સંબંધીઓને પણ પુછ્યુ હતું પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 'બાળકીને શોધવા માટે તપાસ ચાલુ છે'ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી હજુ મળી નથી જેથી બાળકીને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:44 am

રાજકોટ 41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, પારો 42°એ પહોંચશે:આજે અમદાવાદ-વડોદરા અને અમરેલીનું તાપમાન 41°ને વટાવશે; ગુજરાત 'અગનભઠ્ઠી' બનવાના એંધાણ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2C, ગાંધીનગરમાં 39.6C, વડોદરામાં 39.6C, સુરતમાં 37.5C અને અમરેલીમાં 40.9C મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આજે રાજકોટ 'અગનભઠ્ઠી' બનશે, પારો 42C સુધી જશેહવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41C; ગાંધીનગર અને ડીસામાં 40C; ભુજ અને સુરતમાં 39C; ભાવનગરમાં 37C; કંડલામાં 36C; નલિયા અને દમણમાં 35C; પોરબંદરમાં 34.4C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31C તાપમાન નોંધાઈ શકે છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:37 am

રાજકોટનાં વોર્ડ નં-6માં રસકાસીભર્યો જંગ:ભાજપમાંથી સસ્પેન્ડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ હવે કોંગ્રેસ તરફથી મેદાને, કહ્યું- લોકસેવાની કદર કરવાને બદલે મારા વિરૂદ્ધ ષડયંત્ર રચાયું

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબેન જાદવે કાલે આંબાવાડી વિસ્તારમાં આયોજિત કોળી સમાજની વિશાળ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં મારા દ્વારા થતું લોકસેવાની કદર કરવાને બદલે ષડયંત્ર રાચાયું હતું. મંચ પરથી પ્રજાને સંબોધતા દેવુબેન જાદવે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, મેં સતત 10 વર્ષ સુધી વોર્ડ નંબર 6 માં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી છે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, નળમાં ગંદુ પાણી આવતું હોય કે લાઈટની સમસ્યા—લોકો અડધી રાત્રે પણ મને યાદ કરતા અને અમે સ્થળ પર જઈને કામગીરી કરાવી છે. પ્રજા વચ્ચેની મારી આ લોકપ્રિયતા ભાજપના શાસકોથી સહન ન થઈ અને અમને નીચા પાડવા માટે એક ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નાના સમાજમાંથી આવતા લોકો જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેમને રોકવા માટે ખોટા આક્ષેપો અને પાયાવિહોણી વાતો ફેલાવીને બદનામ કરવામાં આવે છે. પરંતુ મને રાજકોટની જનતા પર અને મારા વોર્ડના રહીશો પર પૂરો ભરોસો છે કે તેઓ સત્યને ઓળખશે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુબેન જાદવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવા છતાં તેમનું લક્ષ્ય તો હંમેશા લોકોની સેવા જ રહ્યું છે. નગરસેવકનું કામ જ એ છે કે પ્રજાની બધી પાયાની જરૂરિયાતો પૂરી કરવી. ભાજપે જે રીતે અમને અન્યાય કર્યો છે, તેનો બદલો હવે જનતા મતના રૂપમાં આપશે. અમે માત્ર વાતો નથી કરી, કામ કરીને બતાવ્યું છે અને એટલે જ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો અને કાર્યકરો અમને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે શહેરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરે પણ મહિલા શક્તિ અને જનસેવાની વાત કરી દેવુબેનને ટેકો જાહેર કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 3, 6 અને 7 ના કોંગ્રેસના કોળી સમાજના અન્ય ઉમેદવારોએ મંચ પરથી એકજુટતા પ્રદર્શિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જાહેર સભા દેવુબેન જાદવના મતવિસ્તાર એવા આંબાવાડીમાં જ યોજાઈ હતી, જ્યાં તેમનું વ્યક્તિગત પ્રભુત્વ ઘણું વધારે છે. સભામાં ઉમટેલી મેદની અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 6 માં ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસે અહીં કોળી સમાજના કાર્ડની સાથે સાથે દેવુબેનના 10 વર્ષના કામના અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જનસમર્થન મતમાં કેટલું પરિવર્તિત થાય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:23 am

કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું:ભાજપ 'સામ-દામ-દંડ-ભેદ'ની નીતિ છોડી લોકશાહીના પર્વની પવિત્રતા જાળવે - શક્તિસિંહ ગોહિલ

મનપા ની આગામી રવિવારના રોજ યોજાનાર ચૂંટણી ને લઈ રાજકીય પક્ષો એ ચૂંટણી નો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે સ્થળો એ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગત રાત્રીના વિઠ્ઠલવાડી ખાતે વડવા બ વોર્ડની વિજય વિશ્વાસ જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે, પરંતુ ભાજપ આ પવિત્ર પર્વમાં 'હવનમાં હાડકાં' નાખવાનું કામ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ તંત્રનો દુરુપયોગ કરીને અને લાલચ આપીને લોકશાહીનું ગળું ઘોંટી રહ્યો છે. લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે, એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એણે સેવા કરવાની હોય. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ, જેમ ધર્મમાં પવિત્ર એવો હવન ગણાય અને એમાં હાડકાં નાખવાનું કામ થાય, એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે, ​સારા કામ કર્યા હોય તમે, જનસેવા કરી હોય, તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે સામ-દામ-દંડ-ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હથકંડા, કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક-ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગા-વહાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, ​એક હાથમાં ડરનો દંડો અને બીજા હાથમાં લાલચ આપી આવો, લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો. આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે. અને હું અભિનંદન આપીશ કે આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે, ​ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે, કોંગ્રેસના સમયમાં બનેલા આપણા સૌરાષ્ટ્રના જો તમે તો રજાવળ, ખારો, રંગોળા, આજી, ન્યારી અનેક ડેમો છે, જેની કાંકરી તૂટી નથી હજી સુધી. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રીજ બન્યો હોય, હજી જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રીજ તૂટે! અને પછી પાછું એ બ્રીજ તોડવાના પૈસા નવો બન્યો હોય એના કરતા વધારે અપાય! શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે. ​ગુજરાતની જનતાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ પણ નહીં આપ્યો અને સંપૂર્ણ બહુમતી આપી. અંગ્રેજીમાં કહેવાય છે, Absolute majority makes absolute corrupt. સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવતી હોય છે અને એ રીતે ભાજપને મળેલી સંપૂર્ણ બહુમતીએ સંપૂર્ણ ભ્રષ્ટ ભાજપને બનાવ્યો છે, ​કોંગ્રેસની સત્તાઓ નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં આવશે, તો ભ્રષ્ટાચારને સ્થાન નહીં. જેમ અત્યારે કમલમમાં ટકા આપો પછી જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળે, એવું નહીં. કોઈ ટકાવારી માંગવાની નહીં. પ્રજાનું કામ ઉત્તમ રીતે થાય, ટેક્સના જે ભારણો છે એ ઓછા થાય, સારા નળ-ગટર અને રસ્તા બને. ​કોઈનું ઘર જાહેર હિત માટે તોડવાની જરૂર ઉભી થાય તો એક ઉત્તમ પ્લાન બનાવવાનો કે જેનું ઝૂંપડું પણ તૂટતું હોય તો ઝૂંપડાવાળાને સારું ઘર મળે અને સ્વેચ્છાએ, રાજી-રાજી પોતે બીજી જગ્યાએ શિફ્ટ થાય, એવું આખું આયોજન સાથેનું પ્લાનિંગ કરવું. આ શહેરો માટે, ગામડાઓમાં જે ગ્રામ્ય મુશ્કેલીઓ છે એના માટેની વ્યવસ્થા કરીને પોઝિટિવ એજન્ડા સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. જનતાના આશીર્વાદ મળશે અને સારા પરિણામો આવશે એવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:20 am

પાટણ વોર્ડ 9માં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન:ધારાસભ્ય કિરીટ પટેલે દાદાગીરી કરનારાઓને ચેતવણી આપી

પાટણ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કાર્યકરો અને ઉમેદવારો સામે દાદાગીરી કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી. આ વોર્ડમાં કોંગ્રેસ તરફથી અલ્કેશ પટેલ (સીમેન્ટવાળા), સામાજિક કાર્યકર સુભદ્રા મોદી, પૂર્વ કોર્પોરેટર ગીતા ઠાકોર અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ પટણી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વોર્ડના રહીશો અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની ખાતરી આપી. સભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધી પક્ષો અને અસામાજિક તત્વોને ઉદ્દેશીને આક્રમક વલણ અપનાવ્યું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ શાંતિમાં માને છે અને સમાજનું વાતાવરણ ન બગડે તે માટે અત્યાર સુધી મૌન ધારણ કર્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ મૌનને નબળાઈ ન સમજવું જોઈએ. તેમણે કહ્યું કે, અમે શાંતિપ્રિય છીએ એનો અર્થ એ નથી કે અમે બંગડીઓ પહેરી છે. જો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસના ઉમેદવારો કે કાર્યકરો સાથે દાદાગીરી કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ધારાસભ્યએ વધુમાં ચેતવણી આપતા ઉમેર્યું કે જો કોઈ પોતાને 'દાદા' સમજતું હોય તો તેને ખબર હોવી જોઈએ કે કોંગ્રેસને પણ દાદાગીરી કરતા આવડે છે. જોકે, પક્ષ અત્યારે માત્ર લોકશાહી ઢબે ચૂંટણી લડવામાં અને શાંતિ જાળવવામાં માને છે. તેમણે કાર્યકરોને કોઈપણ અફવા કે દબાણ વશ થયા વગર નીડરતાથી ચૂંટણી પ્રચાર કરવા આહવાન કર્યું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9 ના તમામ ઉમેદવારોએ પણ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી અને વિસ્તારના વિકાસના કામોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:59 am

રામકથા માનસ શ્રી શિવ સંકલ્પનો આજે ચોથો દિવસ:અનેક સાધુ-સંતો, મહેમાનો સહિત હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ

પાલીતાણા તાલુકાના સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની રામકથા 'માનસ - શ્રી શિવ સંકલ્પ' નો આજે ચોથો દિવસ છે. ગત શનિવારથી શરૂ થયેલી આ રામકથામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી અનેક સાધુ-સંતો, મહંતો અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો આ કથાનો લાભ લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:58 am

ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢલગો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર

મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથી લાખોની લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટ્યા હતા. વસઇ પોલીસે એજન્ટ અને રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટહાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલ ગણી રહ્યો છે. થોડીવારમાં પરિવારને પિસ્ટોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યાં છે. શું છે સમગ્ર ઘટના?વસાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ખેડૂત બળવંતસિંહ સતુજી ચાવડાને કોલેજ કરતા દીકરા સિદ્ધાર્થને વિદેશ મોકલવાની ઈચ્છા હતી. તેમના ગામના મુકેશ મોતીભાઈ વણઝારાનો દીકરો દોઢ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યારે બળવંતસિંહને નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. બળવંતસિંહે નિલેશના નંબર ઉપર વ્હોટ્સએપ કોલથી વાત કરી પોતાના દીકરા અને અન્ય એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયા મોકલવા રૂ.64 લાખમાં નક્કી કર્યું હતું. જેને પગલે 18 એપ્રિલના રોજ નિલેશે ટિકિટ કરાવી સિદ્ધાર્થ અને મુકેશ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે દિલ્હી બોલાવતાં બંને દિલ્હી જવા રવાના થયા હતા. એજન્ટે પૈસા તૈયાર રાખવાનું કહી બે શખ્સને મોકલ્યાંદરમિયાન 19 એપ્રિલે સવારે નિલેશે વ્હોટ્સએપ કોલ કરી તમારા દીકરા અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે, તમે પૈસા તૈયાર રાખો. મેં દિલ્હીથી મારા બે માણસોને મોકલી દીધા છે. તેમને તમારો નંબર આપ્યો છે તે આવીને તમને ફોન કરશે. આ વાત બાદ બપોરે બળવંતસિંહ ઉપર સાદો કોલ આવતાં નિલેશે મોકલેલા બે માણસોને તેઓ ગોઝારિયા લેવા ગયા હતા અને પોતાની ગાડીમાં બેસાડી ડાભલા ચાર રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. આરોપીઓને ગેસ્ટ હાઉસ 64 લાખ રૂપિયા બતાવ્યાં તેમની સાથે વાત કરતાં તેમણે સિદ્ધાર્થ અને મુકેશને રાત્રે 1 વાગ્યાની દિલ્હીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે, તમે પૈસા બતાવશો તો ઓસ્ટ્રેલિયા મોકલી આપીશું તેવું કહ્યું હતું. જેથી મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા અને બળવંતભાઈએ ઘરેથી રૂ.64 લાખ લઈ આવી, રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં બેસીને બંને શખ્સને બતાવ્યા હતા. રાતના પૈસા લઈ બન્ને શખ્સો ફરાર, ગેસ્ટ હાઉસમાં બૂમાબૂમરાત્રે સાહિલ વણઝારા પોતાના કાકાના દીકરા જગદીશ વણઝારા સાથે ગેસ્ટ હાઉસ આવ્યા હતા. ત્યારે રાત્રે 9 વાગ્યે બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા નીચેની હોટેલ પર જમીને પરત ગેસ્ટ હાઉસ જતા હતા, તે સમયે જ ગેસ્ટ હાઉસમાં રહેલા સાહીલે બૂમ પાડીને આ બંને લોકો પૈસા લઈ ગાડીમાં ભાગ્યા છે, તેમને પકડો એવું કહેતાંની સાથે જ બંને શખ્સો નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ડાભલા ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા. લૂંટ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોગેસ્ટ હાઉસમાં રહેલા સાહિલ અને જગદીશે એજન્ટ નિલેશે મોકલેલા બંને માણસે પિસ્તોલ જેવું હથિયાર બતાવી, 64 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું જણાવતાં બળવંતસિંહ ચાવડાએ વસઈ પોલીસ મથકમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટનો નંબર થાઇલેન્ડનો નીકળ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ નડિયાદનો હોવાનું અને તે જે નંબર ઉપરથી બળવંતસિંહ અને મુકેશ વણઝારા સાથે વાત કરતો હતો તે નંબર ઇન્ટરનેશનલ થાઈલેન્ડનો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલ મુકેશ વણઝારાને મલેશિયાથી ત્યાંની સરકાર દ્વારા ડિપોર્ટ કરાયો હતો અને ત્યારબાદ નિલેશ બ્રહ્મભટ્ટ તેને મેસેજ કરીને પોતે તેનું ઓસ્ટ્રેલિયા જવાનું કામ કરી દેશેનું કહેતો હતો. દાગીના વેચી અને સગાંવ્હાલાં પાસેથી લાવેલા રૂપિયા લૂંટાયાપુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં ઘરના દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ભેગા કરેલા લાખો રૂપિયા લૂંટાતાં બંને પરિવારો હેબતાઈ ગયા હતા. નાસી છૂટેલા બંને શખ્સને પકડવા એલસીબીએ ચાર ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:56 am

મોરબીમાં મંત્રી અમૃતિયાનો પૂર્વ પ્રમુખને આકરો જવાબ:'અખંડ દીવામાં હરામનું ઘી, બંદૂક લઈને આવો' નિવેદનથી રાજકારણ ગરમાયું

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1 માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભાજપમાંથી 427થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી અનેક આગેવાનોને ટિકિટ મળી ન હતી, જેના કારણે કેટલાક અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક શાંત થઈ ગયા છે. વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાના, તેમના પુત્ર અમિતભાઈ અવાડિયા અને તેમની જૂની પેનલના ત્રણ સભ્યો માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. જોકે, દેવાભાઈ, તેમના પુત્ર કે તેમની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. આથી દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત કુલ ચાર આગેવાનોએ અપક્ષ પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. મોરબીના વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ પર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા દેવાભાઈ અવાડિયાએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી રજૂ કરી હતી અને ત્યારબાદ ટિકિટ કપાવવા બાબતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:48 am

સુરતમાં પાટીલે 'AAP'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ:‘તાકાત હોય તો ગત ચૂંટણીની 27 બેઠકો જાળવી બતાવો, જનતા પસ્તાઈ રહી છે, કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે‘

સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી ૨૭ બેઠકો આ વખતે બચાવીને બતાવો. પાટીલના આ નિવેદનથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવા પાટીલની રણનીતિસી.આર. પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો, તે માત્ર એક સંજોગ હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો. પાટીલે ઉમેર્યું કે, જે લોકોએ 'આપ'ને મત આપ્યા હતા, તેઓ આજે પસ્તાઈ રહ્યા છે. પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે. કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં: “આ વખતે પણ ખાતું નહીં ખુલે”કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુરત શહેર ગયા વખતે જ કોંગ્રેસમુક્ત બની ગયું હતું. 2021ની મનપા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી અને આ વખતે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતાએ તેમને નકારી દીધા છે. પાટીલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે પણ સુરતમાં પોતાનું ખાતું ખોલાવવા માટે ફાંફા મારશે, પરંતુ સફળતા મળશે નહીં. જનતાનો ભરોસો માત્ર ભાજપ પર: પાટીલચર્ચા દરમિયાન સી.આર. પાટીલે ગુજરાતમાં ભાજપના શાસન અને જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા-મહાનગરપાલિકા, તમામમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સાક્ષી છે કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિમાં માને છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાજપના કાર્યકરોની મહેનત જ પક્ષને વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ચાય પે ચર્ચામાં કાર્યકરો સાથે સીધો સંવાદપાંડેસરામાં આયોજિત આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા લેતા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આપણે ઘરે-ઘરે જઈને સરકારની યોજનાઓ પહોંચાડવાની છે. વિપક્ષો ભલે ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ સુરતની જનતા જાગૃત છે. પાટીલે કાર્યકરોને પેજ સમિતિના માધ્યમથી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને ગત વખતના 'આપ'ના દેખાવને ધૂળ ચાટતો કરવા આહ્વાન કર્યું હતું. ‘5 વર્ષના કામોનો હિસાબ જનતા માંગશે’પાટીલે ‘આપ’ના કોર્પોરેટરો પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમણે ખરેખર 5 વર્ષ કામ કર્યું હોત તો તેમને હારવાનો ડર ન હોત. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે માત્ર વિરોધની રાજનીતિ કરી છે. તેમણે કહ્યું, જો તમે 27 સીટો ફરી જીતી શકો તો જ કહી શકાય કે તમે કામ કર્યું છે, પરંતુ મને એવી કોઈ શક્યતા દેખાતી નથી. મતદારો હવે લોભ-લાલચમાં આવ્યા વગર ભાજપના વિકાસના કામોને જોઈને મતદાન કરશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વિપક્ષોનું ગુજરાતમાં કોઈ વજૂદ નથી: મંત્રીનો આક્ષેપલેખના અંતે પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ બચ્યું નથી. સમગ્ર રાજ્યમાં વિપક્ષ પાસે કોઈ નક્કર વિઝન નથી. સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી ભાજપ માટે માત્ર ઔપચારિકતા સમાન છે કારણ કે જનતાએ મન બનાવી લીધું છે. પાટીલે અંતમાં વિજયી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સુરત ફરી એકવાર સો ટકા ભાજપમય બનશે અને વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 10:34 am

બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું:અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થી વચ્ચે મારામારી

દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદની શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતોશહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેના આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ.8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PIનારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:49 am

કેરીનો રસ-પનીર સબ્જી ખાધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડી:દાહોદમાં લગ્નપ્રસંગે જમણવાર બાદ ઝાડા-ઊલટી થવા લાગ્યા, આરોગ્ય વિભાગ દોડતું થયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમણવાર બાદ તબિયત લથડતાં દોડધામ પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો જમવા માટે એકત્ર થયા હતા. જોકે, ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. દર્દીઓની સ્થિતિ અને સારવાર આ બનાવમાં કુલ 400થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમના માટે વિવિધ સ્તરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે: સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કેટલાક દર્દીઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ અને ફૂડ સેફ્ટીની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:25 am

સેવંતીલાલ પટેલનો કોંગ્રેસ પર આકરો પ્રહાર:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન; ભાવનામાં વહ્યા વગર મતદાન કરવા અપીલ

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટેલ, મહામંત્રી સંજય પટેલ, ડો. સેવંતીલાલ પટેલ અને મનોજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે પાટણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષને ગધેડા અને મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી પાર્ટી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારો વ્યક્તિગત રીતે સારા અને ઘોડા જેવા છે, પરંતુ તેમણે ગધેડાનું મહોરું પહેર્યું છે. તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે સગા-વહાલા જોઈને નહીં, પરંતુ પક્ષ જોઈને મતદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જ્યારે મત આપો છો ત્યારે તમે તમારા સગા-વહાલાને નહીં, પરંતુ મલ્લિકાર્જુન ખડગેને મત આપો છો. સેવંતીલાલ પટેલે મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદનની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખડગેએ કેરળની એક સભામાં RSS અને BJP ને ઝેરીલો સાપ કહીને મુસ્લિમોને તેમને ખતમ કરી નાખવા ઉશ્કેર્યા હતા. સેવંતીલાલે RSS ને દેશપ્રેમી સંસ્થા ગણાવીને ખડગેના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ભવિષ્યની સમસ્યાઓ અંગે ચેતવણી આપતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કચરાની ગાડીઓ બંધ થઈ જશે, પાણીની અછત સર્જાશે અને બેંકમાંથી પૈસા ઉપાડવા પણ મુશ્કેલ બનશે. કોંગ્રેસના ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા થવાના દાવા સામે તેમણે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલર સબસિડીની વ્યવસ્થા કરી છે, જેના કારણે 3500 રૂપિયાની ઇલેક્ટ્રિક સગડીથી કામ ચાલશે અને ગેસના બાટલાની જરૂર જ નહીં રહે. તેમણે પાટણમાં ઘૂસણખોરો મુદ્દે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપવા બદલ પણ કોંગ્રેસની ટીકા કરી હતી. ભાષણના અંતે, તેમણે સનાતન ધર્મના જાગરણ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી ભ્રષ્ટ પાર્ટી છે. તેમણે મતદારોને ભાવનામાં વહ્યા વગર માત્ર મહોરું (પક્ષની વિચારધારા) જોઈને મતદાન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:25 am

રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા:અમદાવાદમાં ભાજપનો વિરોધ અને વડોદરામાં 'બિનહરીફ'ના દાવાઓ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવા મળી, તો ક્યાંક ભાજપના નેતાઓ વિરોધનો સામનો કરતા જોવા મળ્યા હતા. રાજકીય રણમેદાનમાં આક્રમક દેખાયા રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણીમાં નણંદ-ભાભીના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા પોતાના નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, રાજકીય રણમેદાનમાં તેઓ આક્રમક દેખાયા હતા. રીવાબાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે, 26 તારીખે ભાજપની પેનલને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. સામે પક્ષે નયનાબાએ ભાભીની શુભેચ્છાનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું હતું કે, જીત કોની થશે એ તો 28 તારીખે પરિણામો જ નક્કી કરશે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોતવડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના અંદાજમાં એક વિવાદાસ્પદ શેખી મારી હતી. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત, પરંતુ આપણે તો લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવી છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે કવાયત કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ આકરા તેવર સાથે મેદાનમાં ઉતરી છે. આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે આવનારા પરિણામો જ નક્કી કરશે કે જનતા કોના પર વધુ ભરોસો મૂકે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:00 am

ભાવનગર પોલીસ એકશન મોડમાં:4921 આરોપી સામે અટકાયતી પગલાં, પાંચને પાસામાં ધકેલાયા

ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે. પોલીસે છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરી ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટા ભાગના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ ભાવનગર શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. અને હજારો શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવી રહી છે. ચુંટણી દરમિયાન કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે જેને લઇને પોલીસે કડક કામગીરી શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી 11 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે મામલે શહેરના ચાર અને મહુવાના એક આરોપીને પાસા હેઠળ ધકેલી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. તદ્દઉપરાંત શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદશનશીલ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. આગામી ચુંટણીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો કાર્યરત રહેશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મહુવા ગ્રામ્યમાં માઢીયા, ખુંટવડામાં આસરાણા ચોકડી, ગારિયાધારમાં નાની વાવડી, વેળાવદર ભાલમાં અધેલાઇ ચોકડી, ઘોઘામાં ઘોઘા મરીન, વલ્લભીપુરમાં કેરીયાના ઢાળ તેમજ ઉમરાળામાં રંઘોળા ચોકડી પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચુંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. આ સિવાય શહેર અને જિલ્લામાં થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદા અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે મામલે હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરના દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગભાવનગર જિલ્લમાં 152 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમાં ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોર્ટ મરીનના એક પી.એસ.આઇ. અને ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત માછીમારોની બોટ તેમજ અજાણ્યા લોકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ એક્શન આંકડાની નજરે

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:41 am

ઘરફોડ ચોરીનું બનાવ:પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરેથી 2 લાખના ઘરેણાં ચોરી

શહેરના જ્વેલર્સ સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો મકાન બંધ કરી બપોરના સમયે પ્રસંગમાં જમવા ગયા બાદ ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કર પ્રવેશી કબાટમાં રાખેલ રૂપિયા બે લાખની આસપાસ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાસી છૂટ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર શહેરના વિક્ટોરિયા રોડ જ્વેલર્સ સર્કલ પાસે આવેલ સરદાર નગર પટેલ સોસાયટી નંબર 1 ના પ્લોટ નંબર ત્રણ માં રહેતા ઉષાબેન નરેશભાઈ જોશી ગત તારીખ 7 એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યા બાદ તેના દીકરા સાથે પોતાના મકાનના મુખ્ય દરવાજા ને તાળું મારી રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાડીમાં પ્રસંગના કારણે જમણવારમાં ગયા હતા ત્યારબાદ જમીને બે વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજા નો નકુચો તોડી કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશી કબાટ નું તાળું તોડી ઘરની તમામ વસ્તુઓ વેર વિખેર પડી હતી. બાદ સિક્યુરિટીમાં નોકરી એ ગયેલ તેમના પતિને બોલાવી તપાસ કરતા કબાટમાં રાખેલ રૂપિયા 1,97,709 ની કિંમત ના સોના ચાંદીના ઘરેણા ઉઠાવી કોઈ તસ્કર ધોળા દિવસે નાસી છૂટ્યો હતો. ઉષાબેન એ આ અંગે બોરતળાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતીં.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:39 am

કરદાતાની હાલત કફોડી બની:ડેડલાઇનના દિવસે જ GSTN ડાઉન રિટર્ન ફાઇલિંગમાં અફરાતફરી મચી

એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી રહેતું. જેના કારણે ટેક્સ પ્રોફેશનલ્સ તથા વેપારીઓને માર્ચ-2026ના GSTR-3B રિટર્ન ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચ-2026ના GSTR-3B રિટર્નની ફાઇલ કરવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ હતી, સવારથી જ પોર્ટલ ડચકા ખાવા લાગ્યુ હતુ અને સતત એરર પ્રદર્શિત કરી રહ્યું હતુ. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ટપ્પ બની ગઇ હતી. વેપારીઓ પર લેટ ફી અને પેનલ્ટીના જોખમ તોળાઇ રહ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા માનનીય કેન્દ્રીય નાણામંત્રી, ચેરમેન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ તથા કમિશનર ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્કને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે કે, માર્ચ-2026ના GSTR-3B રિટર્નની નિયત તારીખમાં વધારો કરવામાં આવે, તેમજ GSTN પોર્ટલની ખામીને કારણે વેપારીઓ પર કોઈપણ પ્રકારની લેટ ફી અથવા દંડ લાગુ ન કરવામાં આવે. ઉપરાંત, GST પોર્ટલ સુચારુ અને સતત કાર્યરત રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવા પ્રશ્નો વારંવાર ઊભા ન થાય તેવી રજૂઆતો કરવામાં આવે છે. રિટર્ન સબમિટ કરતી વખતે સર્વર એરર આવતા આખો ડેટા ફરીથી પ્રોસેસ કરવો પડે છે. વર્ષાંતની કામગીરીમાં એક ભૂલ પણ વેપારીને મોટી પેનલ્ટી તરફ દોરી શકે છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક મુદત વધારાની જાહેરાત કરે તો જ લાખો કરદાતાઓને વ્યાજ અને દંડમાંથી મોટી રાહત મળી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:38 am

ભાવનગર એસ.ટી. ડિવિઝનના તંત્રવાહકોનો કડક મિજાજ:એસ.ટી. ડેપોમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને ફટકારાયો દંડ

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં એસ.ટી. ડેપોના પરિસરમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને દંડ ફટકારાયો છે. ભાવનગર એસ.ટી. ડિવિઝન નીચેના 8 એસ.ટી. ડેપોમાં કરાયેલી કાર્યવાહીમાં એક માસમાં રૂ.6470નો દંડ વસૂલાયો હતો. એસ.ટી. ડેપોના પરિસર અને બસોમાં જયાં ત્યાં પાન મસાલાની પીંચકારી મારી ગંદકી ન ફેલાવવા તેમજ જાહેરમાં ધૂમ્રપાન ન કરવા અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં અનેક મુસાફરો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોય એસ.ટી. પ્રસાશન દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા એસ.ટી. ડેપોના પરિસર અને એસ.ટી. બસોમાં ગંદકી ફેલાવવા બદલ મુસાફરને રૂ.10થી લઈને રૂ.200 સુધીનો દંડ ફટકારાય છે. STના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપેસ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે દેશભરમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એસ.ટી. ડેપો પરિસર જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતાની જાળવણી કરવી આપણા સૌ કોઈની નૈતિક ફરજ બને છે ત્યારે એસ.ટી.ના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપે તે ખુબજ જરૂરી બાબત છે. > આર.ડી.પીલવાઈકર, ડિવિઝન કન્ટ્રોલર, ભાવનગર એસ.ટી. ડિવિઝન

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:38 am

ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ:ભાવનગર બંદર મરણપથારીએ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે. ભાવનગર નવા બંદર પર 2210 મીટરનો ક્વે છે, જેમાં નોર્થ ક્વે અને કોંક્રિટ જેટી વિસ્તાર આવેલા છે. ભરતી અને ઓટની અસર બેસિનની અંદર કાર્યરત બાર્જના ઓપરેશન પર પડે નહીં તેના માટે લોકગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગેટની અંંદર બેસિન વિસ્તારમાં માલવાહક બાર્જ આસાનીથી કાર્યરત રહે તેના માટે સતત ડ્રેજીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ 6 માસથી બેસિનની અંદરનું ડ્રેજીંગ કાર્ય કરી રહેલા કટર સક્શન ડ્રેજર ક્રિષ્નામણીમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા તેની ક્ષમતા મુજબનું કામ કરવામાં અસક્ષમ છે. જ્યારે હોપર બાર્જ માત્ર ચેનલમાં ક્ષુલ્લક ડ્રેજીંગ કરે છે, જે સમગ્ર બેસિન માટે પર્યાપ્ત નહીં હોવાને કારણે કંાપના થર સતત વધતા જ ગયા છે, અને અત્યારે હાલત એવી છે કે ઓટના સમયે 1200થી 1500 ટન માલ ભરેલા બાર્જને પણ બેસિનમાં કામ કરવા માટે મુશ્કેલી નડે છે. ડ્રેજીંગની સમસ્યાથી ભાવનગર બંદર લાંબા સમયથી પિડાઇ રહ્યું હોવા છતા તેનો કાયમી અને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. તાજેતરમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ચિફ સેક્રેટરી હરિત શુક્લાની ભાવનગર પોર્ટની મુલાકાત દરમિયાન સબ સલામતના દ્રશ્યો ઉભા કરાયા હતા. ડ્રેજિંગ મટિરિયલ ડિસ્ચાર્જની લાઇન બદલાય છેભાવનગર નવા બંદરની બેસિનમાં અગાઉ નોર્થ ક્વે તરફ ડ્રેજીંગ મટિરીયલ ડિસ્ચાર્જની લાઇન હતી, જ્યાં હવે સીએનજી ટર્મિનલ સહિતની કામગીરી શરૂ થવાની હોવાથી આ લાઇનનું શિફ્ટિંગ કામ ચાલુ છે, અને સમગ્ર લાઇન અકવાડા જેટીથી આગળ લઇ જવાની છે. હાલ હોપર બાર્જથી મર્યાદિત ડ્રેજીંગ થાય છે. > ઇશ્વર મઢીયા, ડિવિઝનલ એન્જીનિયર, જીએમબી

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:36 am

સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવી પ્રેરણા આપી હતી. ભાવુક પરિસ્થિતિ હોવા છતાં પરિવારે માનવતાને પ્રાથમિકતા આપતા આ ઉમદા કાર્ય માટે સંમતિ આપતા અંતિમ વિદાયમાં માનવતાના અનોખા સ્પર્શથી હવે બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરા સાસરું ધરાવતા 74 વર્ષીય માલિનીબેન હરેશકુમાર બેલાણી શનિવારે ભાવનગર પોતાના ભાઈના ઘરે આવ્યા હતા. જેને રવિવારે રાત્રે હૃદય સંબંધિત તકલીફોને લઈ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડીરાત્રે 2:30 કલાકે તેમનું અવસાન થતા પરિવારજનો દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ મારફતે માલિનીબેનના નશ્વર દેહને વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરી હતી. સર ટી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલક તોફીકભાઈ ખોખરે પરિવારજનોને અંગદાન અને ચક્ષુદાન અંગે સમજાવી તેની કાર્ય પદ્ધતિથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ ભાવુક પરિસ્થિતિ વચ્ચે પણ એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાના બંને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરતા ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને ભાવનગર સર ટી. હોસ્પિટલ સંચાલિત ચક્ષુબેંકની ટીમને બોલાવવામાં આવી હતી. ચક્ષુબેંક તબીબી ટીમના ડો.શિવાલી અને ડો.ભાવિકાએ દસ્તાવેજી કાર્યવાહીને અંતે માલિનીબેનના ચક્ષુઓ કાઢી ચક્ષુબેંકમાં જમા કરાવ્યા હતા ત્યારે માલિનીબેનના બંને ચક્ષુઓની મદદથી અંધારથી ભરેલા બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. વૃદ્ધાના પરિવારજનોના ઉમદા નિર્ણયથી એમ્બ્યુલન્સ ચાલકે રૂ.9000 જેટલું માતબર ભાડું લેવાને બદલે માત્ર ડિઝલ ખર્ચ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બન્યા છે. ભાવનગરનું ચક્ષુદાન અને દેહદાનમાં અનેરૂ પ્રદાનમેડિકલ ક્ષેત્રે ભાવનગરનું અંગદાન, ચક્ષુદાન અને દેહદાનનું ખુબ પ્રદાન છે. ભાવનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 83 જેટલા લોકોએ અંગદાન, 1000થી વધુ ચક્ષુદાન તથા 1100થી વધુ લોકોએ દેહદાન કર્યું છે. દર્દીઓના બ્રેઇનડેડ જેવા કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી અન્ય જરૂરિયાતવાળા લોકોની જિંદગીમાં ઉજાસ લાવી શકે છે. અંગદાન અંગેની વધુ જાણકારી મો. 95123-04381 પરથી મળશે. > ડો.યશ દવે, કોઓર્ડિનેટર, ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ, સર ટી.હોસ્પિટલ.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:36 am

મહાપાલિકા ચૂંટણી 2026નો પડકાર:21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતું છતાં 49% મતદાન, આ વખતે 26 એપ્રિલે 40 ડિગ્રી હશે!

આગામી તા.26 એપ્રિલને રવિવારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો અને તંત્ર માટે મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા જાગૃતિ ફેલાવવામાં ત્રણ મુખ્ય પરિબળો આડખીલીરૂપ બની શકે તેમ છે. મતદાન વધારવા માટે ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ કોઠા વિંધવા પડે તેમ છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક પ્રસંગો કે ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ. કારણ કે 21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતુ છતા 49% મતદાન જ થયુ હતું. જ્યારે આ વખતે 26 એપ્રિલે તાપમાન 40 ડિગ્રી પાર કરવાની આગાહી છે ત્યારે મતદાનની ટકાવારી વધારવાનો પડકાર રહેશે. ત્રણ કોઠામાં એક તો છે એપ્રિલના અંતે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમીની હવામાન વિભાગની આગાહી, બીજો કોઠા છે લગ્ન ગાળો અને તેમાં 26મી એપ્રિલને રવિવાર લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત પૈકીનું એક છે. ત્રીજો કોઠો છે વેકેશન, હવે પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને વાલીઓ પોતાના બાળકો સાથે વેકેશનમાં હળવા ફરવા કે પોતાના વતનમાં જાય તે સ્વાભાવિક છે. આ પાસું પણ મતદાનની ટકાવારીની સામે પડે તેવું છે. આ સ્થિતિમાં સ્વયંભૂ મતદાન જાગૃતિ ફેલાઈ તેવો પ્રયાસ કરવો પડશે. ગત 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન 21મી ફેબ્રુઆરીએ હતુ એટલે કે હજી ઉનાળો જામ્યો ન હતો અને બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી હતુ, પરીક્ષાઓ બાકી હતી તેમજ ઉનાળુ લગ્નોત્સવ પણ શરુ થયો ન હતો છતાં મતદાન 49.47 ટકા થયું હતુ. વળી 2021માં તો કોરોનાની ગાઇડલાઇન પણ હતી એટલે બહારગામ હરવા ફરવા જવાનો સવાલ પણ ન હતો. જ્યારે આ વખતે તાપમાન 40 ડિગ્રી પાર થઈ શકે છે, લગ્નસરા અને વેકેશન પણ મતદાન પર અસર કરી શકે છે. ભાવનગર ચૂંટણી વિશ્લેષણ મહાપાલિકાની છેલ્લી ચાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી 1995ની મહાપાલિકા ચૂંટણીમાં 50.02 ટકા મતદાનનો વિક્રમ હજુ અતૂટ ભાવનગર મહાનગરપાલિકામાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સૌથી વધુ 50.02 ટકા મતદાન થયેલું હતુ. ગત 2021ની ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થતાં આ વિક્રમ માત્ર 0.55 ટકાના અંતરે તૂટતા રહી ગયો હતો. 2021માં જો થોડી મુશ્કેલી વોર્ડ વિભાજનની ન નડી હોત તો 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં 1995માં સર્વાધિક મતદાનનો વિક્રમ ભૂતકાળ બની જાત. હવે આ વખતે જોઇએ કેટલી ટકાવારી થાય છે. ધંધા-રોજગાર માટે સ્થળાંતર ભાવનગરમાંથી ધંધા કે રોજગારની તક ઓછી થતા છેલ્લાં 5 વર્ષમાં ઘણા લોકો બહારગામ કમાવા માટે ગયા છે. આવા લોકો કામધંધા માટે બહાર રહેતા હોય છે, જેના કારણે તેઓ મતદાન દિવસે હાજર રહી શકતા નથી. આથી પણ મતદાન ઓછું થવાની શક્યતા હોય છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:34 am

રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો:ડોંબિવલીમાં લોકલ પાટા પરથી ઊતરી : પીક અવર્સમાં અવરોધ

ડોમ્બીવલી રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 1 પર સોમવારે સવારે લગભગ 8:10 વાગ્યે એક ખાલી લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેના કારણે સવારના વ્યસ્ત પીક અવર્સ દરમિયાન ઉપનગરીય રેલવે સેવાઓમાં હંગામી અવરોધ સર્જાયો હતો. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલી રેક કલ્યાણ તરફ જઈ રહી હતી ત્યારે તેનો એક કોચ અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. સદભાગ્યે, ટ્રેન ખાલી હોવાના કારણે કોઈ મુસાફર હાજર ન હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આ ઘટનાની અસર ડાઉન લાઇન પર ચાલી રહેલી ઓછામાં ઓછી બે લોકલ ટ્રેનો પર પડી હતી. ટ્રેનોને સમયસર ચલાવવા માટે રેલ્વે તંત્રએ તરત જ કાર્યવાહી કરીને તેમને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરી હતી. કેટલાક મુસાફરોને ટ્રેનમાંથી ઉતરીને પાટા પરથી ચાલીને સ્ટેશન સુધી પહોંચતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે થોડી ગભરાટની સ્થિતિ ઉભી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડાઉન લાઇન સેવાઓને પ્લેટફોર્મ નંબર 4 તરફ ફેરવવામાં આવી હતી અને વૈકલ્પિક માર્ગો દ્વારા ટ્રેનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી. મધ્ય રેલ્વે ના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, આ ઘટના છતાં અપ લાઇન સેવાઓ, ખાસ કરીને કલ્યાણથી મુંબઈ જતી ટ્રેનો પર કોઈ અસર પડી નથી. હાલમાં રેલ્વેની ટેકનિકલ ટીમો પાટા પરથી ઉતરેલા કોચને દૂર કરવા અને ટ્રેકને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કામ કરી રહી છે. જોકે સેવાઓ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી નહોતી, તેમ છતાં સવારના કામકાજના વ્યસ્ત સમયમાં મુસાફરોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:21 am

ધરપકડ:બેંક ઠગાઈ કેસમાં અનિલ અંબાણીની કંપનીના બે એક્ઝિક્યુટિવની ધરપકડ

17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિયર એક્ઝિક્યુટિવ ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ., અનિલ અંબાણી અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે તેણે આરોપી કંપનીને ધિરાણ સુવિધાઓ મંજૂર કરી હતી, પરંતુ આરોપી ઋણદારો દ્વારા છેતરામણી પ્રવૃત્તિઓને લીધે બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હતું. એસબીઆઈની જ ફરિયાદ અનુસાર 17 જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 19,694.33 કરોડનું નુકસાન થયું હતું. હમણાં સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આર.કોમે કંપનીના અધિકારીઓ દ્વારા નિયંત્રિત શેલ (બોગસ કંપનીઓ) કંપનીઓ થકી આડકતરા વ્યવહારો કર્યા હતા અને તેની ગ્રુપની કંપનીઓ સાથે બોગસ સેવા સંબંધી લેણદેણ માટે ડિસ્કાઉન્ટેડ એલસી (લેટર ઓફ ક્રેડિટ) પણ મેળવ્યા હતા, જે હસ્તાંતરિત થતાં બેંકોને મોટું નુકસાન થયું હતું.ડી. વિશ્વનાથ જોઈન્ટ પ્રેસિડેન્ટ હતો. તે ગ્રુપની બેંકિંગ કામગીરીઓનો એકંદર ઈનચાર્જ હતો અને તેના નિર્દેશ હેઠળ ભંડોળનો દુરુપયોગ કરાયો હતો. તે આરોપી કંપનીને સુવિધાની મંજૂરી અને વિતરણ માટે બેંકો સાથે સમન્વય કરતો હતો. વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કાલ્યાએ ડી. વિશ્વસનાથને સક્રિય રીતે ટેકો આપ્યો હતો અને આ બંને આર.કોમ ગ્રુપના મહત્ત્વપૂર્ણ કારોબારીઓ હોઈ કોર્પોરેટ ફાઈનાન્સ, બેંકિંગ કામગીરીઓ, ભંડોળના પેમેન્ટ/ ઉપયોગ વગેરેનું વ્યવસ્થાપન કરતા હતા. નોંધનીય છે કે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસી દ્વારા હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી સંબંધે અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે સાત કેસ છેલ્લા થોડા મહિનામાં દાખલ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:21 am

6 કરોડનું ડ્રગ્સ જપ્ત:મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સ કાંડ પછી પોલીસ સક્રિય

ગોરેગાવ સ્થિત નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બે એમબીએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા વધારી છે, જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી) એ સક્રિય તપાસ શરૂ કરી છે.તાજેતરમાં એએનસીએ ટિટવાલામાંથી એક મહિલા ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી છે. તેની પાસેથી અંદાજે ₹6 કરોડની કિંમતની 5,000 એમડીએમએ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેને શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ-સોર્સ રિકવરી માનવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલી મહિલા, જે 40 વર્ષની આસપાસની છે, ભૂતપૂર્વ બાર ડાન્સર હોવાનું સામે આવ્યું છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષ પહેલા ડ્રગ્સના ધંધામાં પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક વેપારીએ તેને નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાવી હતી અને ઊંચા નફાની લાલચ આપી હતી. દરોડા દરમિયાન પોલીસે તેના નિવાસસ્થાનમાંથી પાંચ મોબાઇલ ફોન અને આઠ સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ઉપકરણોના કોલ ડેટા રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે જેથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય અને સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થઈ શકે.આ કાર્યવાહી અગાઉ 16 એપ્રિલે સાકીનાકાના જરીમારી વિસ્તારમાંથી ઈરફાન અલી અંસારી (40) ની ધરપકડ સાથે જોડાયેલી છે, જેને 200 એમડીએમએ ગોળીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અંસારી અગાઉ 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ ચાર વર્ષ જેલમાં રહી ગયા વર્ષે જામીન પર બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, છૂટ્યા બાદ તેણે ફરી ડ્રગ્સનું વિતરણ શરૂ કર્યું હતું.હાલમાં અંસારી અને અન્ય આરોપીઓને 22 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:20 am

મોહન ભાગવતની 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે વિવાદ:ભાગવતની સુરક્ષાનો ખર્ચ સરકાર કેમ ઉઠાવી રહી છે? કોર્ટમાં અરજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવે અને સરકારી તિજોરીમાંથી નહીં. આ અરજીએ રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા જગાવી છે. આ અરજી નાગપુર સ્થિત સામાજિક કાર્યકર્તા લાલન કિશોર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન ન હોવા છતાં તેને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ સુરક્ષાનો ખર્ચ કરદાતાઓના પૈસામાંથી સીધો ચૂકવવામાં આવી રહ્યો હોવાથી, તે સરકારી તિજોરી પર મોટો નાણાકીય બોજ નાખી રહ્યો છે. તેથી, એવી માગણી કરવામાં આવી છે કે કોર્ટ સંબંધિત વ્યક્તિ પાસેથી આ ખર્ચ વસૂલવાનો નિર્દેશ આપે. અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાજ્ય સરકારના નાણાં વિભાગને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ મામલાની સુનાવણી 20 એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે. તેથી, બધાનું ધ્યાન આ સુનાવણી પર છે. અરજદારના મતે, 'ઝેડ પ્લસ' સુરક્ષાનો ખર્ચ દર મહિને આશરે 40 થી 45 લાખ રૂપિયા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ખર્ચ કરદાતાઓના પૈસામાંથી થઈ રહ્યો હોવાથી, તે જાહેર ભંડોળનો દુરુપયોગ છે. તે 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવી સુરક્ષાનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવો જોઈએ. દાવો કરો કે અરજી જાહેર હિતમાં છેઅરજદારે જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે જાહેર હિતમાં છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ વ્યક્તિગત હિત નથી. સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની અને ‘ઝેડ પ્લસ’ સુરક્ષાનો ખર્ચ તાત્કાલિક સંબંધિત પક્ષો પાસેથી વસૂલ કરવાની માગ કરવામાં આવી છે. હવે સમગ્ર રાજ્ય હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય લેશે તેના પર નજર રાખી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:20 am

સિટી એન્કર:ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન

ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના પ્રસ્તાવને સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં આ વાહનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના કાફલામાં દાખલ થશે. મુંબઈ સ્વચ્છ અને સુંદર રહે એ માટે મહાપાલિકા તરફથી સતત વિવિધ ઉપક્રમ અને ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવે છે. તેમ જ મુંબઈની ગંદકી દૂર કરવા મહાપાલિકાનું ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ વિવિધ પ્રયત્ન કરે છે. ઝૂંપડપટ્ટી ભાગના સાર્વજનિક શૌચાલયની ગંદા પાણીની ટાંકીઓની સ્વચ્છતા માટે મહાપાલિકા વિશેષ વાહનનો ઉપયોગ કરે છે. હાલની સ્થિતિમાં મહાપાલિકાના કાફલામાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ વાહન છે. આ બધા વાહન આઠ વર્ષ જૂના થયા છે. પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણના નિયમ અનુસાર વાહનની આયુમર્યાદા આઠ વર્ષ થયા બાદ એનો ઉપયોગ કરી શકાતો નથી. પહેલાંના પાંચ વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી હવે નવા વાહનોની ખરીદી કરવી જરૂરી છે. આ વાહનો માટે મહાપાલિકાએ ડિસેમ્બર 2025માં ટેંડર જારી કર્યા હતા. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એના માટે ત્રણ ટેંડર મળ્યા હતા. એમાંથી એક કોન્ટ્રેક્ટરને મહાપાલિકાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો. વિવિધ મુદ્દા ધ્યાનમાં લઈને ચર્ચાના અંતે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી. એ અનુસાર હવે ટૂંક સમયમાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ નવા વાહન મહાપાલિકાના કાફલામાં દાખલ થશે. વોર્ડ દીઠ વાહનની માગણીદરમિયાન નવા વાહનોના સમાવેશથી ઝૂંપડપટ્ટી ભાગના સ્વચ્છતા કામ વધુ કાર્યક્ષમતાથી પાર પાડી શકાશે એવો વિશ્વાસ મહાપાલિકાના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. જો કે સંપૂર્ણ મુંબઈ માટે ફક્ત પાંચ વાહન ઓછા પડતા હોવાથી મહાપાલિકાના દરેક પ્રશાસકીય વોર્ડ દીઠ એક વાહન ઉપલબ્ધ કરવું એવી માગણી મહાપાલિકા સમક્ષ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:19 am

ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી:મુંબઈમાં 209 કરોડના દાણચોરીનાં કલીંગડ બીજ, લીલા વટાણા અને ચીની ફટાકડા જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે. વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈ દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. તે સમયે તુવેર દાળ તરીકે ઘોષિત કરાયેલાં 132 કન્ટેઈનરોમાંથી 3029 મેટ્રિક ટન કલીંગડ બીજ અને લીલા વટાણા મળી આવ્યા હતા. તુવેર દાળ હોવાનું દર્શાવીને 2710 મે.ટન કલીંગડ બીજ તાંઝાનિયા અને સુદાનથી આયાત કરાયા હતા, જ્યારે 319 મે.ટન લીલા વટાણા કેનેડાથી આયાત કરાયા હતા, એમ ડીઆરઆઈના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે ઘરઆંગણાના ખેડૂતોનું આછી કિંમતની આયાતોથી રક્ષણ કરવા માટે સરકાર દ્વારા આ ચીજો પર સખત આયાત નિયંત્રણ લાદ્યાં છે. આ અંગે નોટિફિકેશન જારી કર્યાં છે. આયાત લઘુતમ કિંમતને આધીન અને કોલકતા બંદર થકી જ નિયંત્રિત છે. આમ છતાં આયાતી કંપનીના ડાયરેક્ટરે તુવેરની આડમાં આ દાણચોરીનો પ્રયાસ કર્યો હતો, જેથી રવિવારે તેની ધરપકડ કરાઈ હતી. બીજા એક કેસમાં પ્રતિબંધ છતાં ચીની ફટાકડા દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે એવી માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે ન્હાવા શેવામાં તલાશી હાથ ધરી હતી. આ ઓપરેશનને ‘‘ઓપરેશન પાયરો હિસ્ટ’’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શંકાસ્પદ કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. બારીકાઈથી તલાશી લેવામાં આવતાં અમુક કન્ટેઈનરોમાંથી 70 મે.ટન ચીની ફટાકડા મળી આવ્યા હતા, જેનું મૂલ્ય આશરે રૂ. 17.07 કરોડ થાય છે. આ દાણચોર ટોળકીના બે જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ટોળકીએ કસ્ટમ્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ઉત્તમ નિયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. કેન્સાઈનમેન્ટને નિરુપદ્રવી માલો તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાંથી આ દાણચોરીનો માલ ચાલાકીપૂર્વક કાઢીને ફેરબદલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આયાતી કન્ટેઈનરોમાંથી ફટાકડા અન્ય વાહનમાં લાદવામાં આવતા હતા ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ માટે કન્ટેઈનરના સીલમાં તેમણે ચેડાં કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:18 am

મહેસૂલ વિભાગ દ્વારા સુધારેલું નવું ધોરણ:સરકારી ભૂખંડ ભાડે આપવા હવે 30ના બદલે 49 વર્ષની મર્યાદા

રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહેર કર્યું છે. સરકારી જમીન ભાડે આપવાનો સમય 30 વર્ષથી વધારીને 49 વર્ષ કરવા જાન્યુઆરી મહિનામાં મંત્રીમંડળ બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગે સરકારના વિવિધ પ્રશાસકીય વિભાગ અને તેમની અખત્યાર હેઠળના મહામંડળ, પ્રાધિકરણોની જમીન વ્યવસાયિક કારણોસર ભાડે આપવા બાબતે નવો નિર્ણય જાહેર કર્યો છે. એ અનુસાર હવે રાજ્યના વિવિધ વિભાગના અને ઉપક્રમની માલિકીના મોટા ભૂખંડ હવે 49 વર્ષના સમયગાળા માટે ભાડે આપી શકાશે. મહેસૂલ વિભાગે જારી કરેલા પરિપત્ર અનુસાર આ પહેલાં ભાડે આપવામાં આવેલા ભૂખંડના કરારની શરતો અને ધોરણનું ઉલ્લંઘન થયું ન હોય તો ભાડાકરારની મુદત વધારી શકાશે. વધુમાં વધુ બે વખત 49 વર્ષ માટે સરકારી ભૂખંડ ભાડેથી આપી શકાશે. મહેસૂલ વિભાગ તરફથી સીધા ભાડે આપેલા ભૂખંડોને આ નિયમ લાગુ રહેશે. તેમ જ જેમના ભાડાકરાર અત્યારે અસ્તિત્વમાં છે એવા વિભાગોને કરારનું ઉલ્લંઘન થયું હોય તો તે નિયમિત કરીને જ નૂતનીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વ્યવસાયિક વપરાશ માટે ભૂખંડ આપતા નવી સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જિલ્લાધિકારીઓ પર જવાબદારીકોઈ પણ સરકારી વિભાગ અથવા ઉપક્રમ યોગ્ય ભાડુ નક્કી કરીને પોતાનો ભૂખંડ ભાડેથી આપી શકે છે. આ પ્રક્રિયા પર નિયંત્રણ રાખવાની જવાબદારી જિલ્લાધિકારીઓ પર સોંપવામાં આવી છે. ભાડાની રકમ સમયસર સરકારી તિજોરીમાં જમા કરવી અને ભાડામાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યાની ખાતરી કરવાનો નિર્દેશ જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:16 am

સામાન્ય પ્રજા પરેશાન:RTOમાં તમામ સેવા ઓનલાઈન હોવા છતાં નાગરિકોને આંટાફેરાથી હેરાનગતિ

દેશમાં આરટીઓ સેવા સારથી અને વાહન 4.0 ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરીને પ્રક્રિયા સરળ કરવાનો સરકારનો પ્રયત્ન છે છતાં વાસ્તવિકતામાં નાગરિકોએ આરટીઓ કાર્યાલયમાં આંટાફેરા કરવા પડે છે. ઓનલાઈન 105 સેવા ઉપલબ્ધ છે છતાં ટેકનિકલ અડચણ, અધુરી માહિતી, પ્રક્રિયામાં ગુંચવાડાના લીધે નાગરિકોની હેરાનગતિ યથાવત છે. ડ્રાઈવિંગ લાયસંસ, વાહન નોંધણી, નૂતનીકરણ, સરનામામાં ફેરફાર, ડુપ્લિકેટ આરસી, ઈ-ચલાન, વાહન માલિકી હસ્તાંતરણ જેવી મહત્વની સેવા ઓનલાઈન થઈ છે. જો કે અરજી ભર્યા પછી દસ્તાવેજોની ચકાસણી, બાયોમેટ્રીક નોંધણી, ફોટો સહી, અંતિમ મંજૂરી માટે અનેક વખત જાતે હાજર થવું ફરજિયાત બને છે. તેથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણપણે ઘેરબેઠા થતી નથી એવી નાગરિકોની ફરિયાદ છે. સારથી પોર્ટલ પર લર્નિંગ અને પાકુ લાયસંસ માટે સ્લોટ મેળવવા અડચણ આવતી હોવાનું અનેક જણ જણાવે છે. ઘણી વખત વેબસાઈટ ધીમી ચાલવી, પેમેન્ટ ફેલ થવું અથવા અરજી સબમિટ ન થવી જેવી ટેકનિકલ સમસ્યા પણ વારંવાર ઉદભવે છે. પરિણામે નાગરિકોએ ફરીથી આરટીઓ કાર્યાલયમાં જવું પડે છે. કેટલાક આરટીઓ કાર્યાલયમાં ટેકનિકલ મદદ કેન્દ્ર (હેલ્પડેસ્ક) ઓછા હોવાથી નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ ભાગના લોકો માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ મુશ્કેલીવાળી બને છે. નિષ્ણાતોના મતે ડિજિટલ સિસ્ટમના લીધે પારદર્શકતા અને ઝડપ વધવાની ક્ષમતા છે પણ એના માટે પોર્ટલની કાર્યક્ષમતા સુધારવી, સ્લોટ ઉપલબ્ધતા વધારવી, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. નહીં તો ના આંટાફેરા કે ન એજન્ટ ઝુંબેશનો ઉદ્દેશ ફક્ત કાગળ પર જ રહેવાની શક્યતા રહે છે. અરજી નકારના કારણઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અનેક નાગરિકોને જરૂરી દસ્તાવેજોની ચોક્કસ માહિતી નથી હોતી. તેથી અરજી નકારવી, ફરીથી પ્રક્રિયા કરવી અથવા એજન્ટની મદદ લેવી પડે છે. એજન્ટ તરફથી અતિરિક્ત શુલ્ક લેવામાં આવે છે એવી ફરિયાદ પણ હજી યથાવત છે. ફિટનેસ માટે વાહન દેખાડવું અનિવાર્યવાહન 4.0 પ્લેટફોર્મ પર વાહન નોંધણી, માલિકી હસ્તાંતરણ, ફિટનેસ પ્રમાણપત્ર, લાયસંસ અને ઈ-ચલાન જેવી સુવિધા છે છતાં કેટલીક સેવા માટે સ્થાનિક આરટીઓ તરફથી વાસ્તવિક તપાસ જરૂરી હોય છે. ખાસ કરીને વાહન ટ્રાન્સફર, હાયપોથિકેશન (કરજ) કાઢવું અથવા ફિટનેસ માટે વાહન વાસ્તવિકતામાં દેખાડવું પડે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:15 am

એમએમઆરડીએ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું:મુંબઈ 3.0 માટે રાયગઢમાં 216 એકર જમીન સંપાદન

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિકો તરફથી પ્રથમ જ દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે પ્રોજેક્ટને વાસ્તવિક ગતિ આપનાર સાબિત થયો છે. આ યોજના સમતિ દ્વારા વિકાસ, વિસ્થાપન દ્વારા નહીંના સિદ્ધાંત પર આધારિત છે. એમએમઆરડીએ પરંપરાગત જમીન સંપાદન પદ્ધતિથી અલગ જઈને જમીન માલિકોને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાની નવી નીતિ અપનાવી છે. જમીન માલિકોને સીધી નાણાકીય ચૂકવણી ઉપરાંત એફએસઆઈ/ટીડીઆર જેવા વિકલ્પો તેમજ લેન્ડ પૂલિંગ દ્વારા વિકસિત પ્લોટના 22.5 ટકા પરત આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. રાયગઢ-પેન ગ્રોથ સેન્ટર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર અટલ સેતુ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિરાર-અલીબાગ મલ્ટી-મોડલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સની નજીક આવેલો છે, જેના કારણે આ પ્રોજેક્ટનું મહત્વ વધુ વધી ગયું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:15 am

નાશિક ટીસીએસમાં થયેલો ચર્ચિત મામલો:ટીસીએસમાં જાતીય શોષણ મામલે મુખ્ય સૂત્રધાર નિદા ખાન સસ્પેન્ડ

નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. લગભગ એક કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી 27 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, નિદા ખાન પર નાશિકમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તપાસકર્તાઓ તેને આ સમગ્ર રેકેટની મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા છે. સાથે જ, કેસમાં જાતીય શોષણના ગંભીર આક્ષેપો પણ સામેલ છે, જેને કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મહત્ત્વની વાત એ છે કે, નિદા ખાન ગર્ભવતી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તેની તરફથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:14 am

2 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીને પણ ઓફિસ મળશે:નવા મંત્રાલયમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ સીએમઓને

મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજાર સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. મંત્રાલયની અત્યારની ઈમારતમાં સીએમઓ પાસે 9 હજાર સ્કવેર ફૂટ જગ્યા છે. હવે બંને ઈંમારતમાં મળીને સીએમઓને કુલ 16 હજાર સ્કવેર ફૂટ જગ્યા મળશે. અત્યારે અનેક સરકારી કાર્યાલય નરિમાન પોઈંટથી જીટી હોસ્પિટલ ખાતેના મિની મંત્રાલયમાં છે. તેથી લગભગ 110 કરોડ રૂપિયા ખર્ચ કરીને ગાર્ડન ગેટ નજીક નવી પાંચ માળાની એનેક્સ ઈમારત બાંધવામાં આવી. આમ તો આ ઈમારત પ્રી ફેબ ટેકનોલોજીથી 100 દિવસમાં પૂરી કરવાનો ઉદ્દેશ હતો. પણ કોન્ટ્રેક્ટરનું કામ ધીમી ગતિએ ચાલુ છે. હવે 31 જુલાઈ સુધી ઈમારત પૂરી કરવાનો નિર્દેશ સાર્વજનિક બાંધકામ વિભાગે આપ્યો છે. પણ કોન્ટ્રેક્ટરે 31 ઓગસ્ટ સુધીની મુદત માગી છે. જો કે એનેક્સ 2માં અત્યારથી જ જગ્યાની વહેંચણી કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને કાર્યાલયના કામ કરવા માટે વહેંચણી કર્યાનું જણાવવામાં આવે છે. નવી ઈમારતમાં કેબિનેટ મંત્રીઓને 1600થી 1700 સ્કવેર ફૂટ જગ્યા તો રાજ્યમંત્રીઓને 1400થી 1500 સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. ઉપરાંત મંત્રાલયની બહારના તબીબી શિક્ષણ, સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓને નવી ઈમારતમાં જગ્યા ઉપલબ્ધ થઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:13 am

કમિશ્નરનો આદેશ:ચોમાસામાં લોકોની હેરાનગતિ ટાળવા 30 એપ્રિલ પછી રસ્તા ખોદકામ બંધી

શહેર અને ઉપનગરોમાં અત્યારે રસ્તાઓનું કોંક્રિટીકરણ, ડામરીકરણના કામ ઝડપી કરવામાં આવ્યા છે. જો કે ચોમાસામાં નાગરિકોને હેરાનગતિ ન થાય એ માટે 30 એપ્રિલ પછી કોઈ પણ ખોદકામ કરવા નહીં અને 15 મે પહેલાં અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા એવી સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ અધિકારીઓને આપી છે. મહાપાલિકાના રસ્તા કોંક્રિટીકરણ પ્રકલ્પના તબક્કા 1 અને 2 અંતર્ગત 1204 રસ્તાઓનું, 327.69 કિલોમીટર લાંબા રસ્તાઓનું કામ પૂરું થયું છે. 532 રસ્તાઓના કામ અંશતઃ પૂરા થયા છે તો 169.14 કિમી રસ્તાઓનું કોંક્રિટીકરણ થયું છે. એકંદરે અત્યાર સુધી કુલ 73.39 ટકા રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂરું થયું છે. મુંબઈને ખાડામુક્ત કરવા સાથે પરિવહન વધુ સુરક્ષિત, ઝડપી, થવાના ઉદ્દેશથી આ પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. કોંક્રિટ રસ્તા પર ચોમાસામાં ખાડા પડવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી દેખભાળ અને રિપેરીંગ ખર્ચ પણ ઓછો થશે. જો કે એક જ સમયે અનેક ઠેકાણે રસ્તાઓનું કામ ચાલુ છે. તેથી એ ચોમાસા પહેલાં પૂરા કરવાની સૂચના કમિશનરે આપી છે. આઈઆઈટી દ્વારા ઓડિટરસ્તા કોંક્રિટીકરણના કામ દરજ્જાવાળા અને ગુણવત્તાપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જો કે એની તપાસ કરવા મહાપાલિકાએ કરાર દ્વારા આઈઆઈટી મુંબઈની થર્ડ પાર્ટી તરીકે નિયુક્તી કરી છે. કોંક્રિટ મિશ્રણ બનાવવાથી લઈને રસ્તાઓના કામ પૂરા થાય ત્યાં સુધીના તબક્કામાં ટ્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, ડ્યુરેબિલિટી ટેસ્ટ, ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ, વગેરે ટેસ્ટ આઈઆઈટીએ કરી છે. કોંક્રિટીકરણ પછી ખાડા ખોદવા મનાઈરસ્તાઓના કામ પૂરા કરતા મહાપાલિકા વોટર એન્જિનિયર, પાઈપલાઈન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, મળનિસણ પ્રચલન, મળનિસરણ પ્રકલ્પ, વગેરે વિવિધ વિભાગ અને વિદ્યુત, ગેસ વિતરણ, મોબાઈલ વગેરે સંબંધિત કંપનીઓ સાથે સમન્વય રાખવામાં આવે છે. કોંક્રિટીકરણ થયેલા રસ્તાઓ પર કોઈ પણ સંસ્થાને ખોદકામ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:13 am