મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાઠંબામાં સભા સંબોધી:ભાજપને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને આહવાન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે સાઠંબા ખાતે 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધન કર્યું હતું. તેમણે મતદારોને આગામી 26 તારીખે ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. બાયડમાંથી છૂટા પડેલા નવનિર્મિત સાઠંબા તાલુકાના મુખ્ય મથક ખાતે આ સભા યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની ગણતરી કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ભરીને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને નવા રોડ-રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાંથી દાહોદ બોર્ડર સુધી રૂપિયા 1600 કરોડના ખર્ચે નવો કોરિડોર બની રહ્યો છે. તેમણે જનમેદનીને અપીલ કરી હતી કે, આ વિસ્તારની તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન આવે અને જિલ્લા પંચાયતોની બેઠકો પર પણ ભાજપનો વિજય થાય તે માટે 26 તારીખે ભાજપ તરફી મતદાન કરવું સૌની ફરજ છે. સભા દરમિયાન, જનતા વચ્ચે બેઠેલી એક નાની બાળકીએ મુખ્યમંત્રીને મળીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તરત જ બાળકીને સ્ટેજ પર બોલાવી તેની ભેટ સ્વીકારી હતી.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની ખામીઓ અને પોર્ટલની નિષ્ફળતા અંગે રાજ્ય સરકારને વારંવાર ધ્યાન દોરવામાં આવવા છતાં કોઈ સુધારા ન થતા આખરે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આવેલી રોઝરી સ્કૂલથી સેફ્રોન ટાવર સુધી રેલી સ્વરૂપે ભારે સૂત્રોચાર સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં પોલીસ આવી અને એકબાદ એક એબીવીપી કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ વેનમાં ભરી દીધા હતા. આ વિરોધ પ્રદર્શનમાં એબીવીપીના 100 વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ખાસ કરીને GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવાથી વિધાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડે છે. જેને કારણે રાજ્ય વિશ્વવિધાલયો અને તેની સંલગ્ન મહાવિધાલયોની સ્થિતિ દયાજનક બની છે. આ પરથી ધ્યાનમાં આવે છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણના વધતા જતા ચલણથી શિક્ષણ માફિયા વિધાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે. ABVP ગુજરાતની GCASને લઈને રાજ્ય સરકાર પાસે માંગ આ મુજબ રહી છે જેમાં ખાસ કરીને તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે. સાથે જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા એ ડિસેન્ટ્રલાઈઝ રીતે વિશ્વવિધાલયો દ્વારા હાથ ધરવામાં આવે. રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તે બંધ કરવામાં આવે અને વિધાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે. વિધાર્થી પરિષદના મહાનગર મહામંત્રી અમિત રામી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં જીકાસને વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજે વિધાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદના તમામ જિલ્લા કેન્દ્ર પર આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિધાર્થી પરિષદ વિધાર્થીઓના હિતમાં રોડ પર ઉતર્યું છે અને પ્રવેશ, પ્રક્રિયા અને પરીક્ષા સરળ બને તે માટે આ આંદોલન કરી રહ્યા છીએ. સાથે કાળી પટ્ટી ધારણ કરી જીકાસ પોર્ટલ પર રહેલ ખામીઓ દૂર થાય તે માટે વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના ખેતી વિરુદ્ધ પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે વડાલી પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી એક ખેતરમાં ચાલતા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી 40.200 કિલોગ્રામ જથ્થા સાથે એક શખસની અટકાયત કરી છે. ટેક્નોલોજીની મદદથી ઓપરેશનવડાલી પોલીસને કેશરપુરા ગામની સીમમાં ગાંજાનું વાવેતર થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે આધુનિક ડ્રોન દ્વારા ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમે તાત્કાલિક ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ 68 છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતપોલીસે સ્થળ પરથી કુલ 40 કિલો અને 200 ગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે 20.10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીની અટકાયત અને તપાસઆ ગુનામાં પોલીસે ખેતરના માલિક મનજી ડુંડ (ઉંમર 47 વર્ષ) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીએ આર્થિક લાભ મેળવવા અને વેચાણના ઈરાદે આ ગેરકાયદેસર ખેતી કરી હતી. પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા કથિત જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે આરપારની લડાઈના મંડાણ થયા છે. આ સમગ્ર વિવાદને ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આગામી 23મી તારીખે એક વિશાળ જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનની રણનીતિ ઘડવા માટે ભૂતનાથ મંદિર ખાતે મળેલી બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ પ્રહારો કર્યા હતા. જેમાં તેને કહ્યું કે, ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે, મંદિરોમાં કબજા થઈ રહ્યા છે. જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ, આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી. 'એક-એક ઇંચ જમીન પર ધીમે ધીમે કબજો થઈ રહ્યો છે'તેમણે રાણપુર ગામના એક વૃદ્ધનું ઉદાહરણ આપતા ગિરનારમાં થઈ રહેલા દબાણની ગંભીરતા સમજાવી હતી. મહેશગીરી બાપુએ કહ્યું કે, એક વૃદ્ધ ખેતરના શેઢે બેસતા અને રોજ એક પથ્થર ઉઠાવી બે-ચાર ઇંચ આગળ મૂકતા. આમ કરતા કરતા 15-20 વર્ષમાં તેમણે બીજાનું આખું ખેતર દબાવી દીધું હતું. બરાબર આ જ સ્થિતિ ગિરનારમાં છે. અત્યારે તમે તળેટીમાં જશો તો બધું સારું દેખાશે, પણ જો અંદરની તપાસ કરશો તો ખબર પડશે કે એક-એક ઇંચ જમીન પર ધીમે ધીમે કબજો થઈ રહ્યો છે. 'જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ છે, આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી'બાપુએ ચેતવણી આપતા કહ્યું કે, જો આજે તમે જાગ્યા નહીં તો ભવિષ્યમાં તળેટીમાં પગ પણ મૂકી શકશો નહીં. સીતાવર જેવી જગ્યાઓ જ્યાં સાધુઓ લોહી-પાણી એક કરીને અન્નક્ષેત્રો ચલાવે છે, ત્યાં અમે એક પથ્થર પણ હલાવી શકતા નથી, જ્યારે જૈન સંપ્રદાયને 2000 વાર જમીન અપાઈ ગઈ છે. આ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ નથી. અમે એવા વેચાઈ ગયેલા બાવાઓ સામે પણ લડી રહ્યા છીએ જેઓ બીજાનું ખાઈને સનાતન ધર્મના હિતને વેચી રહ્યા છે. સનાતન અને ગિરનારને બચાવવા માટે લડવું જ પડશે. જો આગામી 23 તારીખની રેલીમાં જૂનાગઢ સાથ નહીં આપે, તો તમારી આવનારી પેઢીને કહી દેજો અને તમારા દીકરાઓના માથા પર લખી દેજો કે તેનો બાપ દોષી છે કારણ કે તે ગિરનારને બચાવવા મેદાને પડ્યો ન હતો. 'જૈન સંપ્રદાયના અતિક્રમણ વધી રહ્યા છે'આ લડાઈમાં મહેશગીરી બાપુએ સિંહો જેવા મર્દ માણસોની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ભાષણ આપવા કરતા બે-ત્રણ સિંહો જેવા લોકો ભેગા મળીને કંઈક કરે તે જરૂરી છે. ઘેટા-બકરા જેવા હજારો લોકોને જ્ઞાન આપવાથી કંઈ થવાનું નથી. ગૌરક્ષનાથની મૂર્તિ ખંડિત થઈ ત્યારે પરંપરાગત સાધુઓ પણ સમાધાનમાં લાગ્યા હતાં. મારા પર ગિરનાર મુદ્દે બોલવાને કારણે કેસોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં મેં દોઢ કરોડ જેટલો ખર્ચ કર્યો છે, છતાં હું અડગ રહ્યો છું. અમે ગિરનાર પર આવતા યાત્રિકોને રોટલા આપીએ છીએ, ભેદભાવ વગર સેવા કરીએ છીએ. પરંતુ જે રીતે જૈન સંપ્રદાયના અતિક્રમણ વધી રહ્યા છે અને અધિકારીઓ પણ આવીને મને એવું કહે છે કે 'ગિરનાર ચાલ્યો ગયો છે, તમે તમારી જગ્યા બચાવો', ત્યારે લોહી ઉકળી ઉઠે છે. 'આ મોટું જમીન કૌભાંડ છે'ગિરનારના શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા વિસ્તારોમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. વર્ષ 1949ના મંકોડી કમિશનના અહેવાલ મુજબ અન્ય સંપ્રદાય પાસે માત્ર 46-47 જગ્યાઓ હતી. જે આજે લેન્ડ રેકોર્ડમાં છેડછાડ કરીને 150થી વધુ દર્શાવવામાં આવી છે. આ મોટું જમીન કૌભાંડ છે જેમાં સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ ભાવેશ વેકરિયાએ કર્યો છે. 23મી તારીખે હજારોની સંખ્યામાં કલેક્ટરને આવેદનતેમણે રાજકીય નેતાઓને પણ અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેઓ 23મીએ હાજર નહીં રહે તો તેમને ગિરનાર વિરોધી ગણવામાં આવશે. નિર્ભય પુરોહિત અને અન્ય સંગઠનોએ પણ આહવાન કર્યું છે કે 23મી તારીખે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાઈક સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદન આપે અને આ સનાતન અસ્મિતાની લડાઈમાં વિજયી બને. 23મીની આ મહારેલી ગિરનારના ભવિષ્યનો નિર્ણય કરશે તે નક્કી છે. 'ગિરનારમાં માંસ-મદિરાના વિરોધમાં જૂનાગઢના લોકો કેમ એકઠા ન થયા?'ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ઘણા લોકો મને પૂછે છે કે બાપુ તમે કેમ હમણાં કંઈ બોલતા નથી? કેમ ચૂપ થઈ ગયા છો? તો એ લોકોને મારે કહેવું છે કે, ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં જ્યારે માંસ અને મદિરા પીરસવાનું ગંભીર પ્રકરણ બન્યું, ત્યારે જૂનાગઢના લોકો કેમ એકઠા ન થયા? શું ધર્મની રક્ષા માટે ભેગા થવા માટે પણ તમારે કોઈના ખાસ આમંત્રણની જરૂર હતી?. જો આવો જ બનાવ અમદાવાદ, વડોદરા, નેપાળ કે અન્ય કોઈ પણ જગ્યાએ બન્યો હોત, તો લોકોએ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ગંભીર રીતે ઉઠાવ્યો હોત અને મોટું આંદોલન છેડ્યું હોત. પરંતુ ગિરનાર પર્વત પર આવી અધાર્મિક ઘટનાઓ બનવા છતાં જૂનાગઢના લોકોના પેટનું પાણી હલતું નથી, તે ખરેખર દુઃખદ બાબત છે. 'મૂર્તિનું માથું તોડીને ફેંકી દેવાયુ, તો પણ કોઈએ વિરોધનો અવાજ ઉઠાવ્યો નહીં'મહેશગીરી બાપુએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે, ગિરનાર પર્વત પર ભગવાન ગૌરક્ષનાથજીની મૂર્તિનું માથું તોડીને ફેંકી દેવામાં આવ્યું, છતાં જૂનાગઢ શાંત રહ્યું. આ મુદ્દે કોઈ ભેગું ન થયું અને કોઈએ વિરોધનો અવાજ પણ ઉઠાવ્યો નહીં. મને ત્યારે ખૂબ જ પીડા થઈ હતી. હું જે ગિરનાર માટે કોઈપણ સ્વાર્થ વગર, સાધુ હોય કે સંસારી, જો કોઈ પણ ખોટું કરતું હોય તો તેની સામે લડવા માટે પ્રાણ લઈને બેઠો હતો. ત્યારે જૂનાગઢના લોકોએ જે રીતે સાથે ઊભા રહીને ચાલવું જોઈએ તે જોવા મળ્યું નથી. મને વારંવાર કહેવામાં આવે છે કે જૂનાગઢ મોડું જાગે છે, કારણ કે તેને આઝાદી પણ મોડી મળી હતી. પરંતુ આટલી બધી ઘટનાઓ બન્યા પછી પણ જૂનાગઢ કેટલું મોડું જાગશે? શું જ્યારે બધું જ લૂંટાઈ જશે ત્યારે જૂનાગઢના લોકો જાગશે ?
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પર મહિલા કોંગ્રેસના કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયું છે. રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ દાવો કર્યો છે કે સોનલબેન પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. એટલું જ નહીં ટિકિટ ન મળતા પૈસા માંગવા જતા લાફો ઝીંક્યો હોવાનો પણ દાવો કર્યો છે. ભાવનાબેન ગુપ્તાના જણાવ્યા મુજબ, ઉમેદવારોના શોર્ટ લિસ્ટમાં તેમનું નામ આવ્યા બાદ તેમણે હિંમતભાઈ સાથે વાત કરી હતી. જોકે, હિંમતભાઈએ આ બાબત શહેર પ્રમુખ હસ્તક હોવાનું જણાવતા તેમણે સોનલબેનનો સંપર્ક કર્યો હતો. ત્યારે શોર્ટ લિસ્ટમાં નામ આવ્યું હોવાથી પાર્ટી ફંડ આપવું પડે તેવી વાત કરી હતી. મે પૂછ્યું કે કેટલા રુપિયા આપવા પડશે. આ મુલાકાત દરમિયાન સોનલબેને 'પાર્ટી ફંડ' આપવું પડશે તેમ કહી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. ભાવનાબેન ગુપ્તાનું કહેવું છે કે, એક જગ્યાએ ઓલા ગાડી કરીને આવ્યા હતા. ગાડીનો કાચ ખોલીને પૈસા લઈને વિશ્વાસ આપ્યો હતો કે કામ થઈ જશે. એ બાદ 10 તારીખ સુધી રાહ જોઈ અને બાદમાં 11 એપ્રિલે બીજા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી. ટિકિટ ન મળતા મામલો બિચક્યોપૈસા આપ્યા હોવા છતાં ફાઈનલ યાદીમાં નામ ન આવતા ભાવનાબેને સોનલબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ અન્ય વ્યક્તિ મારફતે તેમને રખિયાલ-સરસપુરના બદલે ઈસનપુરથી લડવા કહેવામાં આવ્યું હતું. મને એવું કહેવામાં આવ્યું કે માહોલ કેવો છે ખબર છેને. તો મે પણ જવાબ આપ્યો કે રખિયાલ-સરસપુરમાં કામ કરી રહી છું તો ત્યાંથી જ લડવા માંગુ છું ને. 11 એપ્રિલથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતા થઈ શક્યો નહીં. કાર્યાલય ખાતે લાફો માર્યાનો દાવોગઈકાલે 17 એપ્રિલે જ્યારે ભાવનાબેન ચર્ચા કરવા માટે વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગયા હતા. ત્યારે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મુદ્દે ભાવનાબેને દાવો કર્યો કે, જ્યારે હું વાત કરવા ગઈ ત્યારે સોનલબેન બોલવા લાગ્યા હતા, જેથી ગુસ્સામાં આવીને મેં વાળ પકડીને લાફો મારી દીધો હતો. પાર્ટીના 'દલાલો' સામે રોષભાવનાબેને સ્પષ્ટતા કરી કે તેમને પાર્ટી (કોંગ્રેસ)થી કોઈ તકલીફ નથી, પરંતુ પાર્ટીમાં બેઠેલા જે લોકો 'દલાલી' કરે છે તેમની સામે વાંધો છે.
અમદાવાદ સ્થિત બાળ સુરક્ષા એકમ હેઠળના મુસ્લિમ યતીમખાનાના આંગણે અપરાજીથા ફાઉન્ડેશનના પ્રેરક પ્રકલ્પ 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ કાર્યક્રમમાં જિલ્લા બાળ પ્રોટેકશન અધિકારી, સંસ્થાના અધિક્ષકશ્રી તેમજ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને સ્ટાફ મિત્રોએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસરે ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડિનેટર મિહિરભાઈ શુક્લા દ્વારા બાળકોને 'વ્યસનમુક્તિ'ના વિષય પર એક પ્રભાવશાળી વીડિયો પ્રસ્તુતિ બતાવી, તેમને નશાની બદીથી દૂર રહી સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. અપરાજીથા ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્યરત 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામ એ ખરા અર્થમાં બાળકોના જીવન કૌશલ્યોના સિંચન માટેનો એક નવતર પ્રયોગ છે. આ પ્રોગ્રામમાં અત્યાધુનિક વીડિયો માધ્યમનો ઉપયોગ કરીને બાળકોને સંવાદ કળા (Communication), સમયનું સુવ્યવસ્થિત આયોજન (Time Management) અને જીવનનું લક્ષ્ય નિર્ધારિત (Goal Setting) કરવા જેવી વિવિધ પાયાની કુશળતાઓનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળકોના જીવન કૌશલ્યોને સુદ્રઢ બનાવી, તેમને સમાજમાં એક જવાબદાર અને શ્રેષ્ઠ નાગરિક તરીકે સ્થાપિત કરવામાં અપરાજીથા ફાઉન્ડેશન પાયાની અને પથદર્શક ભૂમિકા અદા કરી રહ્યું છે. અપરાજીથા ફાઉન્ડેશન ગુજરાતમાં 77 લાખ વિદ્યાર્થીઓ સાથે જીવન કૌશલ્યના વિડીયોના માધ્યમથી એમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે આ સાથે 54 હજારથી વધુ સ્કૂલો ગુજરાતની 'ટીમ ટીમ તારા પ્રોગ્રામ' અંતર્ગત જોડાયેલી છે જેમાં સરકારી સ્કૂલો, બાળ સુરક્ષા કેન્દ્રો,આ સિવાય જવાહર નવોદય સાથે સાથે કોર્પોરેશન સ્કૂલો તથા બી.એડ કોલેજોનો સમાવેશ થાય છે
રાજ્યમાં 19-20 એપ્રિલે વરસાદની આગાહી:મહીસાગરમાં વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત
રાજ્યમાં હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન, 17 એપ્રિલે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર, 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય. મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો છવાઈ જતાં આકરા તાપમાંથી લોકોને રાહત મળી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જોકે, આ બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. જેમાં 20.23 લાખ મતદારો મતદાન કરવાના છે. જેમાં રાજકોટ કોર્પોરેશનમાં 9.85 લાખ મતદારો છે. જેને લઇને મતદાન મથકો ઉપર EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં 1014 મતદાન મથકો પર EVM પહોંચી ગયા છે અને ત્યાં ઉમેદવારોના ફોટા અને ચૂંટણી નિશાનના સ્ટીકર ચોંટાડવામાં આવી રહ્યા છે. શહેરની ચૌધરી હાઈસ્કૂલમાં વોર્ડ નંબર 4,5 અને 6 નુ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ શહેર અને જિલ્લાનું મતદાન 26 એપ્રિલના રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે. જો જરૂર પડે તો પુન:મતદાન 27મી એપ્રિલે થશે. મતગણતરી 28મીએ થશે અને 30મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 1થી 18 વોર્ડમાં કુલ 9,85,952 મતદારો નોંધાયા છે. જેમાં 5,10,086 પુરૂષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. શહેરમાં 1014 મતદાન મથકો નક્કી કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે 8,948 કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન માટે 1163 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ (CU) અને 2326 બેલેટ યુનિટ (BU) ફાળવવામાં આવ્યા છે. ચૂંટણીના સુચારૂ સંચાલન માટે વર્ગ-1 કક્ષાના 8 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-2 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ 1186 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને 8480 કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે 2675 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 2675 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-2 કક્ષાના 22 ચૂંટણી અધિકારીઓ અને વર્ગ-3 કક્ષાના 22 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકાના 1થી 11 વોર્ડમાં કુલ 81,471 મતદારો છે. જેમાં 42235 પુરૂષ અને 39230 મહિલા તથા 6 અન્ય મતદારો છે. નગરપાલિકામાં 86 મતદાન મથકો માટે 1702 કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં 113 ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને 226 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ-1 કક્ષાના બે અધિકારી તથા વર્ગ-2 કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. 11 તા.પં.ની 202 બેઠકો, જિ.પં.ની 36 બેઠકો માટે 1186 મતદાન મથકો રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે તાલુકાવાર વિવિધ વિગતો નીચે મુજબ છે.રાજકોટ તાલુકા પંચાયતની 22 બેઠક અને જિ.પં.ની 6 બેઠકોની ચૂંટણી માટે 172 મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ 1,34,482 મતદારો નોંધાયા છે. પડધરી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 88 મતદાન મથકોમાં 61595 મતદારો નોંધાયા છે. લોધિકા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 63 મતદાન મથકોમાં 46602 મતદારો નોંધાયા છે.કોટડા સાંગાણી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક હેઠળ 85 મતદાન મથકોમાં 66075 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ગોંડલ તા. પં. 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 168 મતદાન મથકો નક્કી કરાયા છે અને 1,39,104 મતદારો નોંધાયા છે.જેતપુર તા.પં.ની 20 અને જિ.પં.ની 4 બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં 1,02,037 મતદારો નોંધાયા છે.જામકંડોરણા તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 81 મતદાન મથકોમાં 60702 મતદારો નોંધાયા છે.ધોરાજી તા.પં.ની 16 અને જિ.પં.ની 2 બેઠક માટે 61 મતદાન મથકો નક્કી કરાયા છે અને 51795 મતદારો નોંધાયા છે.ઉપલેટા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 બેઠક સાથે 91 મતદાન મથકો નક્કી કરાયા છે અને 73973 મતદારો નોંધાયા છે. જસદણ તા.પં.ની 22 અને જિ.પં.ની 5 બેઠક માટે 147 મતદાન મથકોમાં 1,24,646 મતદારો છે. વિંછીયા તા.પં.ની 18 અને જિ.પં.ની 3 માટે 109 મતદાન મથકોમાં 95511 મતદારો છે.આમ 11 તા.પં.ની કુલ 202 બેઠક અને જિ.પં.ની 36 બેઠક માટે 1189 મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ 9,56,522 મતદારો નોંધાયા છે. ગોંડલ નગર પાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો, 81471 મતદારો રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકામાં 11 વોર્ડમાં 86 મતદાન મથકો નક્કી કરાયા છે અને 81471 મતદારો નોધાયા છે. જેમાં 42235 પુરુષ મતદારો, 39230 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 1 માં 11 મતદાન મથકો ઉપર 4836 પુરુષ અને 4497 મહિલા મળીને કુલ 9333 મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 2 માં 7 મતદાન મથકો ઉપર 3426 પુરુષ અને 3226 મહિલા મળીને કુલ 6652 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 3માં 10 મતદાન મથકો ઉપર 4668 પુરુષ અને 4233 મહિલા મળીને કુલ 8901 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 4 માં 8 મતદાન મથકો ઉપર 3978 પુરુષ, 3792 મહિલા અને 6 અન્ય મળીને 7776 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 5માં 7 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2886 મહિલા મળીને 6025 કુલ મતદારો નોંધાયા છે.વોર્ડ નંબર 6 માં 6 મતદાન મથકો ઉપર 3139 પુરુષ, 2966 મહિલા મળીને કુલ 6105 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 7 માં 6 મતદાન મથકો ઉપર 3569 પુરુષ, 3356 મહિલા મળીને 6925 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 8 માં 8 મતદાન મથકો ઉપર 4094 પુરુષ, 3860 મહિલા મળીને 7954 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 9માં 5 મતદાન મથકો ઉપર 2721 પુરુષ, 2540 મહિલા મળીને 5261 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 10માં 9 મતદાન મથકો ઉપર 4463 પુરુષ, 4130 મહિલા મળીને 8593 કુલ મતદારો નોંધાયા છે. વોર્ડ નંબર 11માં 9 મતદાન મથકો ઉપર 4202 પુરુષ, 3744 મહિલા મળીને 7946 કુલ મતદારો નોંધાયા છે.
ચોટીલા પાસે 1.46 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો:કપાસિયાની બોરીની આડમાં 10,740 બોટલ સાથે એક ઝડપાયો
રાજકોટ રેન્જ ટીમે ચોટીલા નજીક જાનીવડલા ગામના પાટિયા પાસેથી રૂ. 1.46 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કપાસિયાની બોરીઓની આડમાં સંતાડીને લઈ જવાતી 10,740 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ વિભાગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ ગુનેગારોને શોધવા માટે કાર્યરત હતો. આ દરમિયાન સ્ટાફના કમલેશભાઈ રબારી, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, મિતેશભાઈ પટેલ અને સંદીપસિંહ રાઠોડને બાતમી મળી હતી કે, GJ-10-TT-6183 નંબરનો ટાટા ટ્રક બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદથી રાજકોટ તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે રાજકોટ-ચોટીલા જાનીવડલા ગામના પાટિયા પાસેથી પસાર થતા ટ્રકને રોકીને તપાસ કરતા, કપાસિયાની બોરીઓની આડમાં સંતાડેલી અંકલ ટોમ કંપનીની 750 MLની 10,740 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,28,88,000 થાય છે. પોલીસે ટ્રક ડ્રાઈવર શાહિદ જુસબભાઈ ઈશાભાઈ હિંગોરા (રહે. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા મુદ્દામાલમાં ટ્રક, વિદેશી દારૂ, મોબાઈલ ફોન, કપાસિયાની બોરીઓ, તાલપત્રી અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,46,59,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો ચનાભાઈ દેવાભાઈ રબારી (રહે. રાણપર, ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો ટ્રક સોંપનાર અને ભરી આપનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા, એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, પો.કોન્સ. કમલેશભાઈ રબારી, મિતેશભાઈ પટેલ, ડ્રા.પો.કોન્સ. દિનેશભાઈ ગઢવી, એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એચ.સી. રાજદીપસિંહ ઝાલા, પો.કોન્સ. દિલીપસિંહ સિંધવ, એ.એસ.આઈ. કુલદીપસિંહ ચુડાસમા, એચ.સી. નરેન્દ્રસિંહ રાઠોડ અને પો.કોન્સ. ફતેસંગ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદે આંબેડકર જયંતિ ઉજવી:નિર્ણયનગર પ્રખંડમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાઈ
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડ દ્વારા ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ મંત્રી ચિંતનભાઈ પંચાલે બાબા સાહેબના જીવન આધારિત સિદ્ધાંતો અને વિચારધારા પર માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત જનતાએ 'જય ભીમ' અને 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા હતા. આ ઉજવણીમાં વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ચિંતનભાઈ પંચાલ (નારણપુરા જિલ્લા સહ મંત્રી), બાલકૃષ્ણભાઈ પંચાલ (નારણપુરા જિલ્લા સત્સંગ પ્રમુખ), કરણભાઈ દવે (નિર્ણયનગર પ્રખંડ મંત્રી), રંજનબેન (ભાગવત વિભાગ માતૃશક્તિ સંયોજિકા), હેતલબેન પરીખ (નારણપુરા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા) અને જ્યોતિબેન હકીમ (નારણપુરા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમસ્ત નિર્ણયનગર પ્રખંડ સમિતિના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ 27 લોકો હાજર રહ્યા હતા, જેમાં 7 ભાઈઓ અને 20 બહેનોનો સમાવેશ થાય છે.
ચોટીલા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:હર્ષ સંઘવી ચોટીલા આવશે, ઋત્વિક મકવાણાના આકરા પ્રહાર
ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચોટીલાની મુલાકાતે આવી રહ્યા છે. ઋત્વિક મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચોટીલાની મુલાકાતે આવી રહ્યા છે. મકવાણાએ કટાક્ષ કરતા કહ્યું કે, સંઘવીનો પ્રવાસ વિકાસ કાર્યો માટે નહીં, પરંતુ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને શાંત કરવા અને 'ડેમેજ કંટ્રોલ' કરવા માટે છે. પૂર્વ ધારાસભ્ય મકવાણાએ દાવો કર્યો કે, ચોટીલા પંથકમાં વર્તમાન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની ટિકિટ કપાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની જગ્યાએ અન્ય કોઈ ચહેરાને સ્થાન આપવાની તૈયારીઓ અંગેના મેસેજ વાયરલ થયા છે. આના કારણે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આંતરિક જૂથબંધી ઉપરાંત ક્ષત્રિય સમાજની નારાજગી પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, સંગઠનમાં ભંગાણ અને સમાજની નારાજગીને કારણે ભાજપના મોવડી મંડળને સક્રિય થવું પડ્યું છે. ચોટીલામાં બદલાતા આ રાજકીય સમીકરણો આગામી ચૂંટણીમાં કેવો વળાંક લેશે તેના પર સૌની નજર રહેશે.
નાસતો ફરતો આરોપી ઝડપાયો:જામજોધપુર પોલીસે 9 માસથી ફરાર પ્રોહિબિશન ગુનાનો આરોપી પકડ્યો
જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીને તરસાઈ ગામ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (લાલપુર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણે સ્ટાફને નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સઘન પેટ્રોલિંગના આદેશ આપ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. લખમણભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ગાગીયા અને કૌશિકભાઈ કાંબરીયાને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનના ગુનામાં લાલ શાહીથી નાસતો-ફરતો આરોપી સંજયભાઈ આલાભાઈ કોડીયાતર હાલ તરસાઈ ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે ઊભો હતો. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સંજયભાઈ આલાભાઈ કોડીયાતર (ઉંમર ૨૨ વર્ષ)ને સ્થળ પરથી ઝડપી લીધો હતો. આરોપી મજૂરી કામ કરે છે અને હાલ સંજયનગર, ડેરીવાળો રોડ, જૂનાગઢ ખાતે રહે છે, જોકે તે મૂળ તરસાઈ, તા. જામજોધપુરનો વતની છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. એન.બી. ચૌહાણ સાથે એ.એસ.આઈ. લખમણભાઈ ચાવડા, પો.કોન્સ. અશોકભાઈ ગાગીયા અને કૌશિકભાઈ કાંબરીયા જોડાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ વિસ્તારમાં રાજકોટના માખાવડ ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા જ રેન્જ IG દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ખાસ સૂચના આપી હતી જેથી મોડી રાત્રીના રાજકોટ અમદાવાદ હાઈવે પરથી રાજકોટ રેન્જ PI ટિમ દ્વારા દરોડો પાડી 1.28 કરોડનો વિદેશી દારૂ મળી કુલ 1.45 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે SMC દ્વારા રાજકોટ જિલ્લામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા રેન્જ IG દ્વારા જવાબદાર PI સહીત પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત PI રોહન બારની ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે.10.ટીટી.6183 પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજકોટ-ચોટીલા હાઈવે પર જાનીવડલા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાં કપાસિયાની બોરીઓ ભરેલી હોવાનું જણાતું હતું પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે કપાસિયાની બોરીઓની આડમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.1,28,88,000 કિંમતનીં 10,740 બોટલો કબ્જે કરી ટ્રક ડ્રાઈવર સાહીદ જુસબભાઈ ઇશાભાઈ હિંગોરાની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ઉપરાંત ટાટા ટ્રક, મોબાઈલ ફોન, કપાસિયાની બોરીઓ, તાલપત્રી અને રોકડ રકમ સહિત કુલ રૂ.1,45,56,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભાણવડના ચનાભાઈ દેવાભાઈ રબારી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ટ્રક સોંપનાર અને દારૂ ભરી આપનાર તમામ શખ્સો વિરુદ્ધ પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે 17 એપ્રિલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં સર્જાતી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ 'મટકા ફોડ' કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. હાથમાં પૂતળું અને મટકું લઈ રોષ વ્યક્ત કર્યોABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા. વિરોધના પ્રતીક રૂપે કાર્યકરો જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એડમિશન પ્રક્રિયાના મહત્વના સમયે જ પોર્ટલ ખોરવાઈ જવાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. કાર્યકરોએ કુલપતિ કચેરીની બહાર પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મટકું ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 'દર વર્ષની સમસ્યા છતાં તંત્ર નિંદ્રામાં'ABVP સ્ટેટ મીડિયા કો-કન્વીનર અભિ મનવરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, GCAS પોર્ટલમાં દર વર્ષે ગંભીર સમસ્યાઓ સર્જાય છે, જેના વિશે અમે અવારનવાર રજૂઆત કરી છે. છતાં પણ સરકાર કે ટેકનિકલ ટીમ દ્વારા કોઈ સુધારો કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર માત્ર આશ્વાસનો આપે છે પણ કોઈ કામગીરી દેખાતી નથી. આ આંદોલન આખા ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે છે. 300ની ફી ઘટાડવા, પ્રાઈવેટ યુનિવર્સિટીઓને જોડવા માંગવિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં, પણ આર્થિક બોજ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ABVP ની માંગ છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ પેટે 300 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, તે ફીમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા તો આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે. વધુમાં, એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે તમામ પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો પણ GCAS પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને એડમિશન માટે અલગ-અલગ જગ્યાએ ભટકવું ન પડે. નિર્ણય ન આવે તો ઉગ્ર લડતની ચીમકીછેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે લડત ચલાવી રહેલી વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય સુધારા કરવામાં નહીં આવે, તો આંદોલન વધુ તેજ બનશે. આગામી દિવસોમાં રાજ્યની દરેક કોલેજ કેમ્પસની બહાર ધરણા પ્રદર્શન અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં નક્કર નિર્ણય નહીં લેવાય અને પોર્ટલની ક્ષતિઓ દૂર નહીં થાય, સુધી વિદ્યાર્થી પરિષદ સતત લડતી રહેશે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે મેલી વિદ્યાના વહેમમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો છે. પાડોશીઓએ ધારીયા અને લાકડી વડે કરેલા આ હુમલામાં યુવકનું હાથનું કાંડું અને અંગૂઠો ગંભીર રીતે કપાઈ ગયા છે. તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સરસ્વતી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી કોમલબેન વાલ્મિકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે 20 દિવસ પહેલા આરોપી જયેશ ધનાભાઈ વાલ્મિકીના ઘરે માતાજીની રમેલનું આયોજન થયું હતું. ફરિયાદીનો પરિવાર આ રમેલમાં ગયો ન હોવાથી બંને પરિવારો વચ્ચે મનમેળ તૂટ્યો હતો. રમેલના એક અઠવાડિયા બાદ જયેશના પિતા ધનાભાઈનું કુદરતી રીતે અવસાન થયું હતું. આરોપી જયેશે એવો વહેમ રાખ્યો કે ફરિયાદી અને તેના પરિવારે જાદુ-ટોણા જેવી વિધિ કરવાથી તેના પિતાનું મૃત્યુ થયું છે. આ અંગત અદાવત રાખીને આરોપી જયેશે હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ગત 15 એપ્રિલ, 2026 ના રોજ આરોપી જયેશ ધનાભાઈ વાલ્મિકી ફરિયાદીના ઘર આગળ આવીને ગાળો બોલતો હતો. ફરિયાદીના પતિ જીવિણભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયેશે પોતાની મોટરસાઈકલમાંથી ધારીયું કાઢી જીવિણભાઈ પર હુમલો કર્યો હતો. બચવા જતાં જીવિણભાઈને ડાબા ખભા પર ધારીયું વાગ્યું હતું. આ દરમિયાન, અન્ય આરોપી ડાયાભાઈ શંકરભાઈ વાલ્મિકીએ વચ્ચે પડનાર સાક્ષીને પકડી રાખ્યો હતો. આથી જયેશે ફરીથી ધારીયાના ઘા માર્યા, જેમાં જીવિણભાઈના જમણા હાથનું કાંડું અને ડાબા હાથનો અંગૂઠો માસ સાથે લટકી ગયા હતા. તે જ સમયે ત્રીજો આરોપી નાનુભાઈ ધનાભાઈ વાલ્મિકી લાકડી લઈને આવ્યો અને લોહીલુહાણ હાલતમાં પડેલા જીવિણભાઈને બરડાના ભાગે ફટકા માર્યા હતા. હુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત જીવિણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક હોવાથી ડોક્ટરોએ તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યા હતા, જ્યાં તેઓ હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. સરસ્વતી પોલીસે આ મામલે આરોપીઓ જયેશ ધનાભાઈ વાલ્મિકી, ડાયાભાઈ શંકરભાઈ વાલ્મિકી અને નાનુભાઈ ધનાભાઈ વાલ્મીકિ રુદ્ધ બી.એન.એસ.ની કલમ 109(1), 118(1), 296(b), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં વર્ષ 2026માં શૈલેશ જાનીની ટિકિટ કપાતા જુના કિસ્સાઓ તાજા થયા રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ટિકિટ ફાળવણીના વિવાદોએ ફરી એકવાર જોર પકડ્યું છે. ઉમેદવારોની જાહેરાત બાદ વોર્ડ નં. 7માં જે રીતે શિક્ષણશાસ્ત્રી શૈલેશ જાનીનું પત્તું છેલ્લી ઘડીએ કાપીને ડો. નેહલ શુકલને મેદાનમાં ઉતારવામાં આવ્યા, તેનાથી ભાજપની જૂની કાર્યપદ્ધતિ ફરી ચર્ચામાં આવી છે. ભાજપમાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવવા અથવા ઉમેદવાર બદલવા કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે જે રીતે શૈલેશ જાનીને વિજય વિશ્વાસ સંમેલનમાં મંચ પરથી નીચે ઉતારી દેવાયા તેણે રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ઘટનાએ 1992ની ઐતિહાસિક ચૂંટણી અને 2015ના આંતરિક વિખવાદની યાદો તાજી કરી દીધી છે. 1992: જ્યારે એકસાથે 7 ઉમેદવારો બદલાયા હતા વર્ષ 1992માં જ્યારે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારે ગજગ્રાહ ચાલતો હતો. એક તરફ ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા ચિમનભાઈ શુકલ હતા અને બીજી તરફ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયાનું જૂથ હતું. તે સમયે ચિમનભાઈ શુકલનું વર્ચસ્વ એટલું પ્રબળ હતું કે તેમનો આદેશ પથ્થરની લકીર માનવામાં આવતો. ચૂંટણી સમયે જ્યારે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા હતા, ત્યારે ચિમનભાઈ શુકલને એવી આશંકા જાગી હતી કે પસંદ કરાયેલા ઉમેદવારો શિવલાલ વેકરિયાના જૂથના છે અને તેઓ ભવિષ્યમાં પક્ષ સામે બળવો કરી શકે છે અથવા વેકરિયાની તરફેણમાં જઈ શકે છે. આ કારણે સત્તા પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ભાજપે રાતોરાત વ્યૂહરચના બદલી અને એકસાથે 7 ઉમેદવારોના નામ રદ કરી નવા ચહેરાઓની જાહેરાત કરી દીધી હતી. આ ઉમેદવારોમાં ગોવિંદભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાનો સમાવેશ થયો હતો. ગોવિંદભાઈએ ઉમેદવારી પત્ર ભરી દીધા હોવા છતાં, પક્ષના આદેશને માન આપીને છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ તમામ ફેરફારો પાછળનું મુખ્ય કારણ વેકરિયા જૂથનું વર્ચસ્વ ઘટાડવાનું હતું. આમ, ભાજપમાં શિસ્તના નામે છેલ્લી ઘડીએ લેવાતા નિર્ણયોનો ઇતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2015 વિજય રૂપાણીના હઠાગ્રહને કારણે ભાજપે બેઠક ગુમાવી હતી માત્ર ઉમેદવાર બદલવા જ નહીં, પણ ક્યારેક ચોક્કસ વ્યક્તિને ટિકિટ અપાવવા માટેના હઠાગ્રહ પણ ભાજપને ભારે પડ્યા છે. 2015ની ચૂંટણીનો કિસ્સો આનું જીવંત ઉદાહરણ છે. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને વિજય રૂપાણી તેમના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. વોર્ડ નંબર 10માં ટિકિટની ફાળવણી મુદ્દે મોટો વિવાદ થયો હતો. 2010ની ચૂંટણીમાં આ બેઠક બક્ષીપંચ માટે અનામત હતી અને વિજય રૂપાણીએ પોતાના સાથીદાર પરેશ હુંબલને ટિકિટ અપાવી હતી. જોકે, 2015માં આ બેઠક સામાન્ય (જનરલ) કેટેગરીમાં આવી ગઈ હતી. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની માગ હતી કે અહીં કોઈ સવર્ણ જ્ઞાતિના ઉમેદવારને ઉતારવામાં આવે જેથી જીત નિશ્ચિત બને. તેમ છતાં, વિજય રૂપાણીએ પરેશ હુંબલને જ ટિકિટ મળે તેવો આગ્રહ રાખ્યો હતો. આવી આંતરિક ખેંચતાણમાં અંતે જ્યારે પરેશ હુંબલને ટિકિટ મળી, ત્યારે મતદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. પરિણામે, ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયા વિજેતા બન્યા હતા. આ ઘટના સાબિત કરે છે કે છેલ્લી ઘડીના નિર્ણયો કે વ્યક્તિગત હઠાગ્રહ હંમેશા પક્ષના હિતમાં હોતા નથી. વર્તમાન સ્થિતિમાં પક્ષની શિસ્તનાં નામે શૈલેશ જાનીનું અપમાન ? તાજેતરમાં વોર્ડ નં. 7માં બનેલી ઘટનાએ ફરી એ જૂની યાદોને તાજી કરી છે. જોકે શૈલેશ જાની એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી છે, તેમનું ફોર્મ તૈયાર થઈ ગયું હતું અને તેઓ વિજય વિશ્વાસ સંમેલનમાં ઉમેદવાર તરીકે મંચ પર બિરાજમાન હતા. અચાનક પક્ષ તરફથી ડો. નેહલ શુકલના નામની જાહેરાત કરવામાં આવી. આ સમયે શૈલેશ જાનીને મંચ પરથી નીચે ઉતારી દેવાતા તેઓ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. ભાજપના આંતરિક વર્તુળો આને પક્ષનો નિર્ણય ગણાવી રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આમાં પણ 1992 જેવું જ કોઈ જૂથવાદનું સમીકરણ કામ કરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના રાજકારણમાં આવા છેલ્લી ઘડીના ખેલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, અને આ વખતે પણ ઈતિહાસે દોહરાયો છે. છેલ્લી ઘડીએ ટિકિટ કાપવાની આ પરંપરા ભાજપ માટે ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક સાબિત થઈ છે. ત્યારે હવે ખાસ જોવાનું એ રહેશે કે શૈલેષ જાનીનાં બદલે અચાનક જ નેહલ શુક્લને ટીકીટ આપવાનાં આ નિર્ણયની આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો પર કેવી અસર પડે છે, તે આવનારો સમય જ બતાવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતો ની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં AICC સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારીરામકિશન ઓઝા અને વડોદરામાં પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહેશે રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં. ચલેગી અને લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે, તે અત્યંત ગંભીર બાબત છે. તેઓ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી, ષડયંત્રો અને કાવાદાવા રચીને કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ધાકધમકી તો ક્યાંક લોભ-લાલચ આપી રહ્યા છે. આ રીતે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓના વિરોધમાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં લોકશાહી બચાવો ધરણા' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા છીએ. આ કાર્યક્રમમાં AICC સેક્રેટરી રામકિશન ઓઝાજી અને પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી વિમલભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડીને દેશને આઝાદી અપાવી હતી, આજે દેશમાં બીજી આઝાદીની લડત લડવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. દેશ અત્યારે ગુલામી તરફ જઈ રહ્યો હોય તેમ જણાય છે કારણ કે બંધારણીય સંસ્થાઓનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યારે લોકશાહી પર હુમલો થતો હોય, ત્યારે ધરણા પર બેસવું એ અમારો અધિકાર છે અને એટલે જ અમે અહીં ન્યાય માટે બેઠા છીએ. તેઓએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું કામ જ જૂઠું બોલવાનું છે. તમે સૌ સાક્ષી છો કે જ્યારે વોર્ડ નંબર 2 નું ફોર્મ ખેંચાયું, ત્યારે કોંગ્રેસના પ્રમુખ અને તમામ આગેવાનો બહાર હતા. તો પછી રિટનિંગ ઓફિસરની કેબિનમાં ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો શું કરી રહ્યા હતા? આ આખી પ્રક્રિયાના વિડિયો ફૂટેજ અમે મીડિયાને બતાવ્યા છે. ભાજપને ખબર પડી ગઈ છે કે વડોદરાની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. આખા શહેરમાં ભાજપ વિરોધી માહોલ છે, તેથી જ તેઓ સત્તાનો દુરુપયોગ કરીને બિનહરીફ થવાના કાવાદાવા કરી રહ્યા છે. અમે આની સામે કાયદાકીય લડત પણ લડીશું અને જનતાની વચ્ચે રહીને વિરોધ પણ ચાલુ રાખીશું. વડોદરાના પ્રભારી વિમલ શાહે જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય ધરણા નથી. આ તો સ્વાભાવિક રીતે લોકશાહી બચાવવા માટે યોજાયેલું પ્રદર્શન છે. અત્યારે પ્રજા સારી રીતે જાણે છે કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગઈ છે. હારના ડરથી તેમણે જે રીતે પોલીસતંત્ર, સરકારી તંત્ર અને ગુંડાગીરીનો ઉપયોગ કરીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવ્યા છે, તે અત્યંત શરમજનક ઘટના છે. મને લાગે છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ. આ જ કારણથી અમે આજે સમગ્ર ગુજરાતમાં આ ધરણાંના કાર્યક્રમો રાખેલા છે.
ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ અને સમર્થકો માટે કરવામાં આવતી ચા પાણી અને રસોઈ ચૂલા પર બનાવવામાં આવી રહી છે. ઉમેદવારોનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના ખાસ કરી બહેનોના પ્રશ્ન અમને સાંભળવા મળ્યા છે કે ગેસ સિલિન્ડર મળતા નથી અને મળે તો બમણા ભાવ લેવામાં આવે છે. લોકોની વેદના સમજી આજે અમે પણ અમારા ચૂંટણી કાર્યાલયમાં બને ત્યાં સુધી દેશી ચૂલો બનાવી રસોઈ બનાવવાની શરૂઆત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઇ ચુક્યો છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 8માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે દેશી ચૂલામાં રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી લોકોનવચે જતા ઉમેદવારોને મહિલાઓ ગેસના સિલિન્ડર ન મળતો હોવાની અને મળે તો બમણા રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદ મળતા આજથી કોંગ્રેસે વોર્ડ નંબર 8ના મધ્યસ્થ કાર્યાલય ખાતે દેશી ચૂલામાં રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી અમે પ્રચારમાં ઘર ઘર સુધી જઈ રહ્યા છીએ આ દરમિયાન અમને સ્થાનિક લોકોની રજુઆત સાંભળવા મળી છે કે ગેસના બાટલા મળતા નથી અને મળે તો બમણા રૂપિયા આપવા પડે છે. લોકોને હર હમેશ લાઈનમાં જ ઉભા રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આધાર કાર્ડ હોય કે નોટબંધી હોય કે પછી પેટ્રોલ ડીઝલ કે ગેસ સિલિન્ડર હોય બધી જ વાતમાં લોકોને લાઈનમાં ઉભા રાખી દેવાનું કામ આ સરકાર કરી રહી છે માટે અમે જનતા કહેવા માંગીએ છીએ કે 26 તારીખે મતાધિકારનો ઉપયોગ કરી આ સરકારને જાકારો આપો જેથી કોંગ્રેસ પક્ષ કે જે હમેશા લોકોની સાથે લોકોની વચ્ચે રહે છે તેમની દરેક સમસ્યાનું નિરાકરણ અમારી સરકાર કરી દેશે.. કોંગ્રેસના ઉમેદવાર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટમા અમે લોકોની વચ્ચે જાય ત્યારે અમને મોટાભાગના વિસ્તારોમાં બહેનો દ્વારા ગેસના બાટલાની મોંઘવારીની અને બેરોજગારીની ફરિયાદો કરતા હોય છે. અમારા કાર્યલયમાં પણ અમે શક્ય ત્યાં સુધી દેશી ચૂલામાં રસોઈ બનાવવાની શરૂઆત કરી છે. ભૂતકાળમાં ગેસ સિલિન્ડરના ભાવ વધે તો ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ નોંધાવતા હતા પરંતુ આજે ગેસ સિલિન્ડર મળતા નથી કાળાબજારી થાય છે તો પણ આ વિરોધ કરનારા નેતાઓ જોવા મળતા નથી માટે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ હમેશા લોકો સાથે રહીને કામ કરે છે માટે આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કરશે તો અમારો પક્ષ જરૂરી લોકોની સમસ્યા હલ કરશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આવતી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના કારણે ચૂંટણીને ખાસ મહત્વ મળ્યું છે. અમિત શાહ અમદાવાદામાં મતદાન કરશેસૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે તેમ છે. તેમના મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા-વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તે જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. સૂત્રો મુજબ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણદિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
GCAS પોર્ટલ સામે ABVPનો વિરોધ:નવસારીમાં રસ્તા રોકો આંદોલન કરતા કાર્યકર્તાઓની અટકાયત
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નવસારીમાં ABVPના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરીને પોર્ટલની ખામીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે રસ્તા પર ઉતરેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિમાં અનેક ખામીઓ છે. આ ખામીઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ABVPના સ્થાનિક નેતા અક્ષય શાહે જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ વિદ્યાર્થીઓની સુવિધા માટે બનાવાયું હતું, પરંતુ તેનાથી મુશ્કેલીઓ વધી છે. તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે 31 મેરિટ રાઉન્ડ થયા હોવા છતાં ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ન હતો. શાહે સ્પષ્ટ માંગ કરી હતી કે આ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓને પણ સામેલ કરવામાં આવે. જો તમામ યુનિવર્સિટીઓ એક જ પોર્ટલ પર હશે, તો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી નહીં રહે. આનાથી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં મોંઘી ફી ભરીને પ્રવેશ લેવાની ફરજ નહીં પડે. વિદ્યાર્થી પરિષદની મુખ્ય માંગણીઓમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓને ફરજિયાત સામેલ કરવી, મેરિટ સિસ્ટમ અને વેરિફિકેશન રાઉન્ડમાં રહેલી ટેકનિકલ ખામીઓ સુધારવી, અને ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી ન રહે તે માટે પારદર્શક નીતિ બનાવવાનો સમાવેશ થાય છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં સરકાર GCAS પોર્ટલમાં જરૂરી સુધારા નહીં કરે, તો આ આંદોલન રાજ્યના દરેક નગર, શહેર અને તાલુકા સ્તર સુધી લઈ જવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શુક્રવારે સવારે બે કલાક દરમિયાન “લોકશાહી બચાવો ધરણાં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યોની સરેઆમ હત્યા થઈ રહી છે અને તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, આ અંગે લાલભા ગોહિલએ ધરણાં દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારના ઈશારે પોલીસ અને પ્રશાસન વહીવટી તટસ્થતા ભૂલીને ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે, ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે વધુમાં, કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ પર ખોટી રીતે FIR કરીને તેમને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલનું નિવેદનભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે લોકશાહીના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું છે, ભાજપ અત્યંત નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે, પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા અમારા ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવામાં આવે છે અમે ચૂંટણી પંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, લોકશાહી બચાવવી એ અમારી ફરજ છે અને કોંગ્રેસ પક્ષ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે. ભાજપના ઈશારે કામ કરતા પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, ચૂંટણીમાં દરેક ઉમેદવારને મળેલા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે,રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવતી ખોટી કાયદાકીય કાર્યવાહી બંધ થાય, આ ધરણાં કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના તમામ અગ્રણીઓ, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરના ખેડૂતવાસમાં ગત રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી અને ઝપાઝપી બાદ જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. શખસે ગાળો આપી ધમકી આપ્યા બાદ યુવકે તેનો પીછો કરતા પ્રભુદાસ તળાવ પાસે ફરી વિવાદ થયો હતો. બનાવને લઈને યુવકે ઘોઘા રોડ પોલીસ મથકમાં શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. સામે કેમ જોવે છે કહી બબાલ કરીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ પાસે રહેતા વિવેક ઉર્ફે ડોન સોલંકી (ઉંમર 20)એ આકાશ ઉર્ફે ખોંગો બારૈયા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર ગતરાત્રે વિવેકભાઈ પોતાના મિત્ર સાથે ખેડૂતવાસ પાટા પાસે ઉભા હતા. ત્યારે આકાશ બાઈક લઈને ત્યાં આવી “મારી સામે કેમ જોવે છે” કહી ગાળો બોલી ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીથોડા સમય પછી પિતાને ફોન કરવાની વાત કરી સ્થળ પરથી નીકળી ગયો હતો. બાદમાં વિવેક અને તેના મિત્રએ રાહદારીના ટુ-વ્હીલરમાં તેનો પીછો કરી પ્રભુદાસ તળાવ મઢુલી પાસે તેને અટકાવ્યો હતો. જ્યાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. દરમિયાન આકાશે વિવેકને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો વધુ ગંભીર બન્યો હતો. બનાવના પગલે ઘોઘા રોડ પોલીસે આકાશ ઉર્ફે ખોંગો બારૈયા સામે BNSની કલમ 115(2), 352, 351(3) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે.32 વર્ષીય શેખર ક્રિષ્ના યાદવ સાણંદ તાલુકાના નિધરાડમાં રહેતો હતો. આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યો છે. બે દિવસ પહેલાં જ સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બન્યા15 એપ્રિલે સમ્રાટ ચૌધરી બિહારના 24માં મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને લોકભવનમાં સવારે 11 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
સુરેન્દ્રનગરમાં 19 એપ્રિલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર અને પશ્ચિમ વિભાગના બ્રાહ્મણ સમાજ દ્વારા શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન પરશુરામની શોભાયાત્રા સાંજે 5 વાગ્યે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી પરથી શરૂ થશે. આ યાત્રા ભગવાન પરશુરામ ચોક, જ્યુસિકા, ટાંકીચોક, પતરાવાળી ચોક અને વાડીલાલ ચોક થઈને પરત ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી પહોંચશે.ભગવાન પરશુરામ ચોક ખાતે ભૂદેવો, સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનો દ્વારા ભગવાનની ફરસીને ફુલહાર અર્પણ કરવામાં આવશે. શોભાયાત્રાના સમાપન બાદ સાંજે 7.30 વાગ્યે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી ખાતે ભગવાન પરશુરામની મહાઆરતી યોજાશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29 ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. તેમના સોગંદનામા મુજબ, સુધા પાંડેએ 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે 1996માં MA પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તંત્રની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ઉમેદવારે આને માત્ર 'ટાઈપિંગ મિસ્ટેક' ગણાવી છે. 1997માં ગ્રેજ્યુએશન અને 1996માં માસ્ટર્સની પદવી! સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે, પરંતુ આ દરમિયાન વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેનું ચૂંટણી સોગંદનામું સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યું છે. આ વિવાદનું મુખ્ય કારણ તેમની શૈક્ષણિક લાયકાતના વર્ષો છે. એફિડેવિટમાં દર્શાવ્યા મુજબ, સુધા પાંડેએ રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશથી વર્ષ 1997માં BA (બેચલર ઓફ આર્ટસ)ની ડિગ્રી મેળવી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેની બરાબર નીચે જ તેમણે એવું દર્શાવ્યું છે કે તેમણે તે જ યુનિવર્સિટીમાંથી 1996માં MA (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી લીધી હતી. એટલે કે, નિયમ મુજબ સ્નાતક થયા પછી જ અનુસ્નાતક થઈ શકાય, પરંતુ અહીં ઉમેદવારે BA કરતા એક વર્ષ પહેલા જ MA પૂર્ણ કરી લીધું હોવાનું સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતમાં 'લોજિક'નો અભાવ, સો. મીડિયામાં ચર્ચાચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિગતોમાં આ પ્રકારનો છબરડો સામે આવતા મતદારોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂરો કર્યા બાદ જ બે વર્ષના માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સુધા પાંડેના કિસ્સામાં 1997માં ગ્રેજ્યુએશન પૂર્ણ થયું હોવા છતાં, 1996ની સાલમાં માસ્ટર્સની ડિગ્રી કેવી રીતે મળી શકે તે એક મોટો તર્ક-વિતર્કનો વિષય બન્યો છે. આ વિસંગતતાને કારણે લોકો હવે ઉમેદવારની શૈક્ષણિક કારકિર્દીના ક્રમ પર રમૂજ અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર સામે સવાલ, વિપક્ષે લગાવ્યા ગંભીર આક્ષેપોઆટલી મોટી અને દેખીતી ભૂલ હોવા છતાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન સુધા પાંડેનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવતા વિપક્ષી નેતાઓ લાલચોળ થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, જો સામાન્ય જનતા કે અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો પછી ભાજપના ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવામાં આવી? સત્તાના જોરે ખોટા દસ્તાવેજો અથવા વિગતોને માન્ય રખાઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણી જંગ ગરમાયો, પ્રામાણિકતા સામે સવાલોવોર્ડ નંબર 29માં આ શૈક્ષણિક વિવાદને કારણે હવે ચૂંટણીનો માહોલ વધુ ઉગ્ર બન્યો છે. જનતામાં ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત અંગે ચર્ચાઓ જાગી છે. વિપક્ષે માગ કરી છે કે ચૂંટણી પંચે આ મામલે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો વિગતો ખોટી સાબિત થાય તો ઉમેદવારનું ફોર્મ રદ કરવું જોઈએ. આ વિવાદને કારણે ભાજપ બેકફૂટ પર જોવા મળી રહ્યું છે, જ્યારે અન્ય પક્ષો આ મુદ્દાને મતદારો વચ્ચે લઈ જઈને ભાજપની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉમેદવારનો બચાવ, 'ટાઈપિંગ મિસ્ટેક' હોવાનો દાવોસમગ્ર વિવાદ વકરતા ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક ટેકનિકલ ખામી અથવા ટાઈપિંગ મિસ્ટેક છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તમામ અસલ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ ઉપલબ્ધ છે, જેમાં વર્ષોનો ક્રમ એકદમ સાચો છે. એફિડેવિટ તૈયાર કરતી વખતે વર્ષ લખવામાં ભૂલ થઈ હોઈ શકે છે, પરંતુ તેમના દસ્તાવેજો સાચા છે અને ગમે ત્યારે તેની ખરાઈ કરી શકાય છે. જોકે, આ ખુલાસો વિપક્ષ અને સોશિયલ મીડિયાના યુઝર્સને કેટલો સંતોષ આપે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
જુગારીઓના રંગમાં ભંગ પડયો:કલોલના વાસજડામાં જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા અને એક ફરાર
કલોલ તાલુકાના વાસજડા ગામની સીમમાં જાહેરમાં જુગારધામ પર સાંતેજ પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણ જુગારીને 12 હજાર 500 રોકડ સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે એક જુગારી પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં રેડ કરીસાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે વાસજડા ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલા બાવળના ઝાડ નીચે કેટલાક શખસો એકઠા થઈને રુપિયાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે ખાનગી વાહનમાં જઈને જ્યાં જુગાર રમાતો હોય ત્યાં દરોડો પાડ્યો હતો. ત્રણ શખ્સ જુગાર રમતા ઝડપાયાદરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે જગ્યા કોર્ડન કરીને ત્રણ શખસને સ્થળ પર જ દબોચી લીધા હતા. જ્યારે રમણજી ઠાકોર નામનો શખસ પોલીસને હાથતાળી આપી ભાગી છૂટ્યો હતો. આ અંગે પકડાયેલા જુગારીની પૂછપરછ કરતા તેમની ઓળખ કમલેશ ઉર્ફે ટીનાજી દંતાણી (રહે. સોલા, અમદાવાદ), વિક્રમસિંહ સોલંકી (રહે.દેત્રોજ, અમદાવાદ) અને વરસંગજી ઉર્ફે રાજેશ ઠાકોર (રહે. વાસજડા,કલોલ) તરીકે થઈ છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ 12,500 રોકડ તેમજ જુગારનું સાહિત્ય કબજે લઈ જુગારધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
વઢવાણ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:29 એપ્રિલથી 13 મે દરમિયાન વઢવાણ રેલવે મેદાનમાં રમાશે
વઢવાણ ખાતે વઢવાણ કપ ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 29 એપ્રિલથી 13 મે દરમિયાન વઢવાણ રેલવે મેદાનમાં રમાશે. ખજૂરીવાળા મેલડી માતાજી દેવસ્થાનના લાભાર્થે આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ 29 એપ્રિલે મોડી સાંજે થશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમો ભાગ લેશે અને કુલ 15 રાત્રી મેચો રમાશે. આ મેચો જોવા માટે 10,000થી વધુ દર્શકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. વઢવાણ રેલવે મેદાનમાં છેલ્લા 35 વર્ષથી રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની પરંપરા રહી છે. દરરોજ ચારથી વધુ મેચો રમાશે, જેમાં દરેક મેચ 10 ઓવરની રહેશે. ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરિંગ અને મેચની જાણકારી માટે ખાસ એપ પણ બનાવવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની ટીમો અને ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આગામી 13 મેના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
લુણાવાડામાં જોખમી ખાડાનું સમારકામ શરૂ:દિવ્ય ભાસ્કર ડિજીટલના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર અંબાજી માતા મંદિર પાસેના જોખમી ખાડા મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ખાડા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ રોડ ઓથોરિટીએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું છે. આ ખાડો વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરતો હતો. તે લુણાવાડા શહેરના મુખ્ય માર્ગ પર આવેલો હતો, જેના કારણે દૈનિક ધોરણે પસાર થતા હજારો વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. અગાઉ આ ખાડાના કારણે એક એક્ટિવા ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી અને વાહનને નુકસાન થયું હતું. આ ઉપરાંત, અનેક વાહનચાલકો પણ આ જ ખાડાના કારણે દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ બાદ રોડ ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે.
સુરતમાં મોટા વરાછા સ્થિત શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશમાં રહેતી મહિલાએ પુત્રીના પ્રેમલગ્નની અદાવત રાખી ગોરધનભાઈ ડોંડા નામના વૃદ્ધ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની કોશિશ કરતાં પોલીસે ઉષા નામની મહિલાની ધરપકડ કરી છે. ત્યારે આરોપી મહિલાનો પુત્ર પીડિત ડોંડા પરિવારના જર્મની અભ્યાસ કરતા દીકરાને ધમકાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કોલ કરીને કહેતો હતો કે ઘેનની ટીકડી નાખી હતી. જો કઈ બીજી ટીકડી નાખી હોત તો કાયદેસર પૂરું થઈ ગયું હોત. આ સાથે જ તેમના પરિવારને આ કેસને આગળ ન વધારવા માટે પણ કહેતો હતો. 'બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર પૂરું જ થઈ ગયું હોત'આ સમગ્ર ઘટનામાં જ્યારે ભોગ બનનાર પરિવારે મીડિયામાં આરોપી મહિલા અંગે આક્ષેપો કર્યા હતા. ત્યારે આરોપી મહિલા ઉષા નાકરાણીના પુત્રએ ભોગ બનનાર કિરણબેન ડોંડાના જર્મની અભ્યાસ કરતા પુત્રને કોલ કરીને ધમકાવ્યો હતો. કોલ કરીને કહ્યું હતું કે, તું તારા પપ્પાને એવી રીતે વાત કર કે પપ્પા આપણે બધું અંદરો અંદર છે. આપણને ઘરનું થાય, એમને પણ ઘરનું થાય, એનેય દુઃખ લાગે, બધાને દુઃખ લાગે. એની ક્રેડિટ જાય, આપણી ક્રેડિટ જાય. અને તો પણ મળે શું કંઈ? લાડવો મળ્યો? આ તો બચી ગયા કે હાલો ઘેનની ટીકડી નાખી હતી કે માથાની ટીકડી નાખી હતી, એક વસ્તુ સમજી લે. કંઈક બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર આપણે પૂરું જ થઈ ગયું હોત, એક વસ્તુ સમજી લેજે. આ તો આપણા નસીબ અને કરમ કે ભાઈ એટલું નહોતું થવાનું ને તોય આમાં આટલી બધી વસ્તુ ઉમેરીને થઈ ગઈ છે, એક વસ્તુ સમજી લેજે. ‘એવું કરવું હોય તો આવી દવા ન નાખે’વધુમાં ધમકાવતા કહ્યું હતું કે, સમજો કંઈ? એટલે તું તારી રીતે તારા પપ્પાને કંઈક હવે કન્વિન્સ કર, કોઈને, તારા દાદાને, કે આવી રીતે પપ્પા કે દાદા કે બાપુજી આવી રીતે છે, હવે જે કંઈ થઈ ગયું છે એનું જે તમારે સમજવું હોય એક વસ્તુ સમજી લેજો. આપણે કંઈ નથી એવા કોઈ અને આપણો એવો કોઈ ઈરાદો હતો નહીં કે ભાઈ તમને આવી રીતે સાવ કરી દઈએ. અને એવું કરવું હોય તો આવી દવા ન નાખે, એક વસ્તુ સમજે. બાકી તું ઓળખે છે. ઘટના શું હતી?નિવૃત્ત જીવન ગાળતાં 70 વર્ષીય ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા (મૂળ રહે. નારી, જિ. ભાવનગર) 10 એપ્રિલે બપોરે ગાર્ડનમાંથી પરત ફર્યા ત્યારે તેમના ફ્લેટના ઉંબરામાં એક પ્લાસ્ટિકની થેલીમાં બે લાડુ જોવા મળ્યા હતા. કોઈ પ્રસાદી મૂકી ગયું હશે તેમ સમજી ગોરધનભાઈએ તેમાંથી ચુરમાના લાડુનો ટુકડો ખાધો હતો અને તેમની પુત્રવધૂ કિરણબેનને પણ આપ્યો હતો. પ્રસાદી સમજીને લાડુ ખાધાના થોડા સમય બાદ ગોરધનભાઈ તેમના મિત્ર સાથે ઉત્રાણ પાવર હાઉસ પાસે મઠો લેવા ગયા હતા, જ્યાં તેમને અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. તેને કિરણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ ભાનમાં આવ્યા હતા. બીજી તરફ તેમની પુત્રવધૂ કિરણબેનને પણ ઝેરી અસર થતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવના પગલે ઉત્રાણ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગોરધનભાઈની સામેના ફ્લેટમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણીની દીકરી એકાદ વર્ષ પહેલા એક યુવક સાથે ભાગી જઈ લવ મેરેજ કર્યા હતા. ઉપાબેનને વહેમ હતો કે આ વાતની જાણ ગોરધનભાઈની પુત્રવધૂ કિરણ અને પૌત્રી ઈશાને હતી. તેમજ તેની આ દીકરી ડોંડા પરિવાર સાથે વાતચીત કરતી હતી, જે પસંદ ન હતી. તેમજ નિકીતાને પ્રેમલગ્ન કરવા પાછળ તેઓનો હાથ હતો, છતાં તેમણે જણાવ્યું નહોતું. આ અદાવત રાખી ઉષાબેને લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી પરિવારને ખતમ કરવાના ઈરાદે દરવાજા પાસે મૂક્યા હતા. ગોરધનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઉષાબેન નાકરાણી (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ઉત્રાણ, મૂળ રહે. કુજડી, જિ. ભાવનગર)ની ધરપકડ કરી હતી.
મોરબીમાં 100 થેલી યુરિયા ખાતર ઝડપાયું:બોલેરો ગાડીમાંથી બિલ વગરનો જથ્થો, એક શખ્સ પકડાયો
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પરથી શંકાસ્પદ રીતે યુરિયા ખાતરની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બોલેરો ગાડીમાંથી બિલ વગરની યુરિયા ખાતરની 100 થેલીઓ મળી આવી હતી. પોલીસે ખાતર અને વાહન સહિત કુલ રૂ. 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી નંબર GJ 13 AX 2876 ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા પાછળના ભાગે યુરિયા ખાતરની 100 થેલીઓ ભરેલી જોવા મળી હતી.પોલીસે વાહનચાલક અશોકભાઈ ધનજીભાઈ ઝાપડિયા (ઉંમર 36, રહે. પરનાળા, તા. લીમડી, જિ. સુરેન્દ્રનગર) પાસેથી યુરિયા ખાતરની થેલીઓનું બિલ માંગતા તેની પાસે કોઈ બિલ મળ્યું ન હતું. આથી પોલીસે ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા કબજે કર્યો હતો.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 27,000 ની કિંમતનું યુરિયા ખાતર અને રૂ. 2 લાખની કિંમતની બોલેરો ગાડીનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આ યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર તરફથી ઉકેલ ન આવતા વિરોધગ્રામજનોનો મુખ્ય વિરોધ ગામમાં સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈને લોકોમાં એવી ભીતિ છે કે, જો અહીં ઉદ્યોગો આવશે તો પ્રદૂષણનું પ્રમાણ વધશે. ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીનો કપાસે જેના કારણે ખેતી લાયક જમીન અને ગ્રામીણ સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે. આ ઉપરાંત ટીપી અને ડીપી સ્કીમથી સ્થાનિકોના હિતો જોખમાતા હોવાનો સુર પણ ઉઠ્યો છે. આ બાબતે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ 'ઢંઢેરો પીટી'ને એકસૂરે ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે. ગામમાં ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધગામમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રિયલ ઝોન રદ કરવામાં નહીં આવે અને ટીપી-ડીપીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષના ઉમેદવારને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જો આવનારા દિવસોમાં સરકાર નમતું નહીં જોખે તો આ આંદોલન વધુ તેજ બનાવવાની અને મતદાનના દિવસે બૂથ ખાલી રાખવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.
ભરૂચમાં ABVP દ્વારા GCAS પોર્ટલ સામે વિરોધ:રાજ્યવ્યાપી આંદોલન અને ઉગ્ર ધરણા-પ્રદર્શનની ચેતવણી
ભરૂચની એમ.કે. કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GCAS પોર્ટલને લઈને ABVP ગુજરાત પ્રદેશે રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. પોર્ટલની ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સુધારા ન થતા, ABVPએ હવે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. ABVPના જણાવ્યા અનુસાર, GCAS પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ જોવા મળી છે. આના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. ખાસ કરીને, પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 33 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં લગભગ 50 ટકા બેઠકો ખાલી રહી છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં વોલ રાઈટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પરચા વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં દરેક જિલ્લા મુખ્ય મથકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર ધરણા-પ્રદર્શન યોજી આંદોલન વધુ તેજ કરવામાં આવશે. ABVPએ રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો, અથવા તો પ્રવેશ પ્રક્રિયાને ડીસેન્ટ્રલાઈઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી, અને રજીસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા 300 રૂપિયાનો ઘટાડો અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ઉગામેડીમાં AAP ઉમેદવારનો ડોર-ટુ-ડોર પ્રચાર:જિલ્લા પંચાયત બેઠક માટે પત્રિકા વિતરણ કરી મત માંગ્યા
ગઢડા તાલુકાની ઉગામેડી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોએ ઉગામેડી ગામમાં ડોર-ટુ-ડોર સંપર્ક શરૂ કર્યો છે. આ અભિયાન અંતર્ગત, AAPના ઉમેદવાર મહેન્દ્રભાઈ સાટીયા અને તેમના કાર્યકરો મતદારોને રૂબરૂ મળી રહ્યા છે. તેઓ પત્રિકાઓનું વિતરણ કરીને પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે, તેમના પ્રચારને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને પગલે ડાયમંડ સિટીમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનું રાજકારણ ગરમાયું છે, જેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ નામ લીધા વિના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પર વળતો પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ હવે ભાન ભૂલ્યા છે અને રાજનીતિમાં ગાળાગાળી પર ઉતરી આવ્યા છે. ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા, હવે ગાળો પર ઉતરી આવ્યા: સોરઠીયામનોજ સોરઠીયાએ સભા સંબોધતા કહ્યું કે, ભાજપના નેતાઓ હવે મર્યાદા ભૂલી રહ્યા છે. તેમણે અમને અને અમારા મા-બાપને ગાળો દેવાનું શરૂ કર્યું છે. જે નેતાઓ પહેલા એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલે, તેઓ આજે સ્વીકારી રહ્યા છે કે આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે જનતાના પ્રશ્નો ઉઠાવ્યા અને સત્તા સામે અવાજ બુલંદ કર્યો એટલે ભાજપના નેતાઓના મોઢામાંથી હવે કામને બદલે ગાળો નીકળી રહી છે. ‘કામ કર્યા હોય તો ગાળો દેવાની અને પ્રચારની જરૂર કેમ પડી?’ભાજપને પડકાર ફેંકતા સોરઠીયાએ કહ્યું કે, મારે તેમને પૂછવું છે કે જો તમે ખરેખર કામ કર્યા હોય અને જનતાની પીડા દૂર કરી હોય, તો તમારે આટલી બધી ગાળો બોલવાની કે પ્રચાર કરવાની જરૂર કેમ પડે છે? ગાળો દેવાથી કંઈ વળવાનું નથી, કારણ કે આપ એ નાના માણસોની પાર્ટી છે. તેમણે ભાજપને સલાહ આપી હતી કે ગાળો દેવાનું રહેવા દો અને જનતાને તમારું કામ બતાવીને મત મેળવવાની હિંમત કરો. AAPની ગ્રાન્ટના કામો ભાજપ પોતાની પત્રિકામાં છપાવે છે: ગંભીર આક્ષેપવરાછા અને આસપાસના વિસ્તારોનો ઉલ્લેખ કરતા આપ નેતાએ દાવો કર્યો હતો કે, આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં આમ આદમી પાર્ટીની ગ્રાન્ટમાંથી કામો થયા છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના નેતાઓ આ જ ગ્રાન્ટથી બનેલા રસ્તાઓના ફોટા પોતાની પ્રચાર પત્રિકામાં મૂકીને લોકોને છેતરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ધારાસભ્યોને ખરીદવાથી વિપક્ષ ખતમ નહીં થાય, પણ ઉલટાનો વધુ મજબૂત બનશે. ‘જો ભૂપત વાળી કરશો, તો જનતા વિસાવદર વાળી કરશે’મનોજ સોરઠીયાએ ભાજપને ચીમકી આપતા કહ્યું કે, જો ભાજપ 'ભૂપત વાળી' (તોડજોડની રાજનીતિ) કરશે, તો જનતા આ વખતે 'વિસાવદર વાળી' (પરાજય) કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ છેલ્લા 10 વર્ષથી વિપક્ષના નેતાઓને ખરીદીને જ સત્તા પર ટકી રહી છે. જે નેતાઓ ભાજપને ગાળો દેતા હતા, તેમને જ ભાજપ ખરીદીને મોટા નેતા બનાવી દે છે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપને હારનો ડર લાગી રહ્યો છે અને ગુજરાતમાં આ વખતે સંપૂર્ણ પરિવર્તન નક્કી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આ દરમિયાન, વોર્ડ નંબર 13ના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે એક અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી છે. આ ઉમેદવારોએ એક મોટર કારને કેસરિયા રંગથી રંગી છે. આ કાર પર ચાર ઉમેદવારો – કુસુમબેન ઉદયભાઈ સોલંકી, રૈયાબેન વિજયભાઈ કટોડિયા, ઈશ્વરભાઈ લખમણભાઈ ખાંદલા અને પ્રવીણભાઈ પરાગભાઈ પરમાર – ના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્ય, પક્ષના જિલ્લા પ્રમુખ અને પક્ષનું ચિહ્ન પણ કાર પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રકારનો અનોખો ચૂંટણી પ્રચાર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉમેદવારો આ રીતે મતદારોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને પોતાના પક્ષ તથા ઉમેદવારોને યાદ રાખવામાં મદદ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હિંમતનગરના ચૂંટણી પ્રવાસે:સવારથી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, બપોરે સભા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લેશે. તેઓ બપોર બાદ શહેરમાં આવશે, જેને પગલે સવારથી જ વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ બપોરે ૩ વાગ્યા પછી શરૂ થશે. તેઓ મહેતાપુરા ખાતે ભાજપના વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ નરનારાયણ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ પછી, નૈયા પાર્ટી પ્લોટમાં 'વિકાસ સંકલ્પ સભા' યોજાશે અને અંતે પ્રાંતિજના સોનાસણ ચાર રસ્તા પાસે 'વિજય સંકલ્પ સભા'ને સંબોધશે. આ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા કોલેજ ગ્રાઉન્ડ હેલિપેડ પર ઉતરશે. ત્યાંથી તેઓ રોડ માર્ગે મોતીપુરા થઈને મહેતાપુરા જશે અને પરત તે જ માર્ગે ફરશે. મુખ્યમંત્રીના રૂટ અને સભા સ્થળો પર સવારથી જ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એસપી સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રૂટ પર ઠેર ઠેર પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વેગ આપવા માટે વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. ગતરાત્રે ભાજપ દ્વારા શહેરના વોર્ડ નંબર 1, 3, 4 અને 5 સહિતના વિસ્તારોમાં વિધિવત રીતે વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યાકાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રભારી ભરત ડાંગર, અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી સહિતના ઉચ્ચ હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ રિબન કાપી કાર્યાલયોને જનતા અને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. આ કાર્યક્રમોમાં સ્થાનિક કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. ભાજપની ભવ્ય વિજય આશા વ્યક્ત કરી ઉદ્ઘાટન બાદ યોજાયેલી સભાઓમાં સંબોધન કરતા મહાનુભાવોએ આગામી સમયમાં ભાજપના ભવ્ય વિજયનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રભારી ભરત ડાંગર અને અશોક ચૌધરીએ કાર્યકરોને સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા અને બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર રેકોર્ડબ્રેક બહુમતી સાથે જીત હાંસલ કરશે. કાર્યાલયો શરૂ થતા હવે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બની છે.
મોરબી-હળવદ હાઈવે રોડ પર શિરોઈ ગામ નજીક એક કારમાંથી આમ આદમી પાર્ટીના બે સ્થાનિક અને દિલ્હીના આગેવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે કારમાંથી દારૂની બે બોટલ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં બંને આગેવાનો સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી-હળવદ હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે શિરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીના પુલ પાસે એક કારમાં દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા (રહે. રુદ્ર પાર્ક-1, હળવદ, આમ આદમી પાર્ટીના ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી) અને વિકાસકુમાર વિજયકુમાર (રહે. દિલ્હી, દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર આમ આદમી પાર્ટીના પ્રભારી) બંનેને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની ગાડીમાંથી 2000 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો, 20,000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર નંબર GJ 13 AH 2321 મળીને કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આગેવાનોને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા, 16 એપ્રિલ, 2026: જુનિયર એડિટર-8 પ્રવૃત્તિ હેઠળ શહેર અને રાજ્ય સ્તરે પસંદ કરાયેલા વિજેતાઓનો સન્માન સમારોહ આજે મહેસાણા કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને ભેટ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણવિદ મનુભાઈ ચોક્સી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્ય ભાસ્કરની આ પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બાળકોની સર્જનાત્મકતા, બૌદ્ધિક વિકાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૌએ ભવિષ્યમાં પણ આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવા વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગરમીની વચ્ચે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામો અંગે હવે પ્રજા તેમને ‘હિસાબ’ આપી રહી હોય તેમ ભાજપના ઉમેદવારોને કામ ન કર્યું હોવાનું કહીને પ્રચારમાંથી ભગાડી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મત માંગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભળાવી દીધું હતું કે તમને તો અહીંયા મત માંગવા આવતા પણ શરમ આવવી જોઈએ. ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ત્યારે ભાજપના નેતાઓે અને કાર્યકર્તાઓ પણ ભારત માતાકી જયના સામે નારા લગાવી નીકળી ગયા હતા. જનતાએ ભાજપના નેતાઓને સંભળાવ્યું તો પણ શરમ વિના પ્રજાની કોઈપણ વાત સાંભળ્યા વગર નીકળી ગયા હતા. ભાજપના ઉમેદવારોને સોસાયટીમાં ઘૂસવા દીધા નહીંઅસારવા વોર્ડમાં પાંચ વર્ષમાં કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરો જોવા આવ્યા નહીં અને પૂર્વ કોર્પોરેટરના વર્તનને લઈને તેમજ કામ કર્યા નથી તેને લઈને ભાજપ માટે મત માંગવા આવેલા અસારવાના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રજાનો અસલી મિજાજ બતાવી દીધો અને સંભળાવ્યું હતું. સોસાયટીમાં પ્રવેશ કરવા દીધો નહીં. ચૂંટણી માટે ગયેલા ભાજપના ઉમેદવારોને ભગાડવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અસારવા વોર્ડના રિપીટ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે ગેરવર્તન કર્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરી અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા. ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’વાઇરલ થયેલા વીડિયોમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ગંદુ પાણી આવે છે મારી દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને તેણે બાટલા ચડાવી અને પરીક્ષા આપી છે. ત્યારે કોઈ જોવા માટે આવ્યું નહોતું અને અત્યારે આખું લશ્કર લઈને નીકળી પડ્યા છો. કેટલાય સમયથી ખાડા પડ્યા છે જે જોવા આવવાનો સમય નહોતો. તમને અહીંયા વોટ લેવા આવતા પણ શરમ આવવી જોઈએ. ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસો થયા છે. અમે હેરાન થયા છીએ ટેન્કરો લાવવા પડ્યા છે. ફોન કરનાર રહીશોને કહ્યું- તમારા વોટની જરૂર નથીંઅસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા પછી વધુ એક સોસાયટીમાંથી પ્રચાર કર્યા વિના જ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને મેસેજમાં અસારવા વોર્ડમાં આવેલી કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં અંદાજે 4થી 5 હજાર મતદારો છે. જો કે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં ગટર અને ગંદુ પાણી આવતું હતું જેની રજૂઆત તત્કાલીન કોર્પોરેટર અનુ પટેલને કરવામાં આવી હતી છતાં તે એક પણ વખત વિસ્તારની મુલાકાતે આવ્યા ના હતા અને ફોન કરનાર રહીશોને તમારા વોટની જરૂર નથીં એવો ટોણો મારતા હતા. ‘સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં ને ભાજપ ભગાવોના નારા લાગ્યા’જોકે ભાજપે પૂર્વ ચાર કોર્પોરેટરમાંથી એક માત્ર અનુ પટેલને જ ભાજપે રિપીટ કર્યા અને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે પ્રચાર અર્થે ગુરુવારે કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં રાઉન્ડ શરૂ થાય તે પહેલા જ રહીશોએ તેમના કારણે અન્ય ત્રણ ઉમેદવારને પણ પ્રવેશ કરવા દીધો ન હતો અને તમામ ઉમેદવારોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, ભાજપના ઉમેદવારોએ સ્થાનિક નેતા અને વોર્ડના ઉપપ્રમુખને સમજાવવા આગળ કર્યા હતા પણ લોકોએ તેમની વાત પણ કાને ધરી નહોતી અને ભાજપ ભગાવોના નારા લગાવ્યા હતા.
વાપીમાં RPFએ 3 કેબલ ચોર ઝડપ્યા:‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ લાખોની રેલવે સંપત્તિ બચી
પશ્ચિમ રેલવેના ‘ઓપરેશન રેલ સુરક્ષા’ અભિયાન અંતર્ગત વાપી RPFએ બે અલગ-અલગ કાર્યવાહી કરીને રેલવે સિગ્નલ કેબલ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને કારણે લાખો રૂપિયાની રેલવે સંપત્તિનું નુકસાન અટકાવવામાં આવ્યું છે અને ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરાયો હતો. મળતી માહિતી અનુસાર, 15 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ થવાની જાણકારી મળી હતી. આથી RPF અને સિગ્નલ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સે સિગ્નલ કેબલ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. RPFએ ત્વરિત કાર્યવાહી કરીને 35 વર્ષીય ઉમેશ સહાની નામના આરોપીને ચોરાયેલી કેબલ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. સિગ્નલ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અંદાજે ₹1.44 લાખનું નુકસાન થયું હતું. આ પહેલાં, 14 એપ્રિલે વાપી-કરમબેલી અને વાપી-ઉદવાડા સેક્શનમાં પણ ટ્રેક ફેલ થવાના કિસ્સા સામે આવ્યા હતા. કેબલ ચોરીની આ ઘટનાઓની તપાસ દરમિયાન RPFએ CPDS ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી ભીલખાડી વિસ્તારમાં જંગલ અને ઝાડીઓ વચ્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 22 વર્ષીય અમન પાંડે અને 20 વર્ષીય રોહિત નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલી કોપર કેબલ અને હેક્સા બ્લેડ પણ જપ્ત કરવામાં આવી હતી. સિગ્નલ વિભાગે તાત્કાલિક સમારકામ કરીને ટ્રેક પર ટ્રેન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. જોકે, આ ઘટનાઓને કારણે થોડા સમય માટે કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી. RPFની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેશ સહાની અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો આદતી ગુનેગાર છે. ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને સુરતની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેલવે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રેલવે સંપત્તિની સુરક્ષામાં સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તરત જ RPF હેલ્પલાઈન 139 પર જાણ કરે.
દાહોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિકભાઈની પત્નીએ પોતાના બે પુત્રોની હત્યા કરી બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝેરી દવા જેવો પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ પ્રાથમિક માહિતી અનુસાર, ચાકલીયા રોડ સ્થિત તેમના નિવાસ સ્થાને પત્નીએ પહેલા 12 વર્ષીય પુત્ર શ્લોક અને 2 વર્ષીય પુત્ર રુદ્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ તેણે ઝેરી દવા જેવો કોઈ પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્રણેયને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મહિલાનો બચાવ થયો, પરંતુ બંને પુત્રોને બચાવી શકાયા ન હતા. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હાલ મહિલાને ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. આ પગલું કયા કારણોસર ભરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ ટાઉન પોસ્ટ વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે જેમાં 2 બાળકોના મૃત્યુ થયા છે જેમાં પત્નીએ પણ પોતે દવા પીધી છે પ્રથમ દૃષ્ટિએ પત્નીએ બાળકોના મૃત્યુ નિપજાવી પોતે પણ અગમ્ય કારણોસર દવા પીધી છે હાલમાં સ્ત્રી સારવાર હેઠળ છે તપાસ ચાલુ છે અને વધુ પુરાવા સાથે વિગતવાર કાર્યવાહી કરવામાં આવશે: જગદીશ ભંડારી ડીવાયએસપી મૃતકોના નામ : પુત્ર શ્લોક (12 વર્ષ) પુત્ર રુદ્ર (2 વર્ષ)
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ દ્વારા વોર્ડ નંબર 10માં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને વોર્ડ નંબર 10ના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપની વિકાસની રાજનીતિને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. વધુમાં, મનપા વિસ્તારના દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે ચૂંટણી પ્રચારને વેગ આપશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 (લિંબાયત-પરવત કુંભારિયા)માં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો હતો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમવર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. 'મેં એના માટે દેવ-દેરા કર્યા, એણે મારી પોરીનું ન રાખ્યું'ઉમેદવારની માતાએ ભારે હૈયે અને ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે, આજે એણે (સંજયે) મારી પોરીનું માન ન રાખ્યું. મેં આ માણસ માટે કેટલી મહેનત કરી હતી, તમને ખબર છે? લોકસભાની ચૂંટણી વખતે મેં એની ઈજ્જત રાખેલી, એના માટે દેવ-દેરા કરી કરીને હું મરી ગઈ, પણ આજે એણે જ મારી દીકરી અને મારા દીકરાને રડાવ્યા છે. માતાનો આ આક્રોશ બતાવી રહ્યો હતો કે, રાજકારણની પેનલમાં જે વિશ્વાસ હોવો જોઈએ, તેનો સંજયે ઘોર અનાદર કર્યો છે. પૈસા વિરુદ્ધ ઇજ્જતની લડાઈ: માતાનો હુંકારમાતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, આજે એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે. મારી પોરી વગર પૈસાની છે, એટલે એણે આવું કર્યું? તેમણે ભીની આંખે ગર્વ સાથે ઉમેર્યું કે, જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત, તો તમે બધા અમને મારવા કે લડવા ન આવત? પણ મારી પોરી એવી નથી. મારી પોરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે. આજે એણે એના મા-બાપની આબરૂ રાખી છે. રડતી દીકરી અને લાચાર પરિવારની સ્થિતિવોર્ડ નંબર 18ના મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડ કલેક્ટર કચેરીની બહાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. તેમની માતા સતત તેમની પડખે રહીને સાંત્વના આપવાને બદલે દગાખોર સાથી સામે લડત આપી રહ્યા હતા. પરિવારનો આરોપ છે કે, મધ્યમ વર્ગના યુવાન ઉમેદવારો જ્યારે રાજકારણમાં આગળ વધવા માગે છે, ત્યારે આવા 'પૈસાના ખેલ' તેમની કેરિયર ખતમ કરી નાખે છે. માતાએ લિંબાયતના મતદારોને સાક્ષી માનીને પૂછ્યું હતું કે શું એક ગરીબ પણ ઇજ્જતદાર ઉમેદવાર સાથે આવો અન્યાય થવો જોઈએ? લિંબાયત-પરવત કુંભારિયામાં કાર્યકરોમાં ભારે આક્રોશસંજય રામાનંદીએ જે રીતે છાનામાના કલેક્ટર કચેરી જઈને ફોર્મ પરત ખેંચ્યું, તેનાથી આખા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો સ્તબ્ધ છે. પ્રકૃતિની માતાના આ વિડીયો નિવેદનો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસર્યા છે. કાર્યકરો કહી રહ્યા છે કે જે માતાએ સંજયને દીકરા સમાન ગણીને આશીર્વાદ આપ્યા હતા, તે જ માતાના નિસાસા તેને ભોગવવા પડશે. આ વિશ્વાસઘાત બાદ સમગ્ર વોર્ડમાં કોંગ્રેસના અન્ય ઉમેદવારોની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં નવા શૈક્ષણિક સત્ર 2026-27થી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે કુલ 68 કોલેજોમાંથી માત્ર 19 કોલેજો જ પાત્રતા ધરાવે છે. આ કોલેજોમાં આગામી દિવસોમાં એલઆઈસી કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. વર્ષ 2023-24થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. આ નીતિ હેઠળ ગ્રેજ્યુએશન માટે ત્રણ વર્ષ અને 'ઓનર્સ વિથ રિસર્ચ' અથવા 'ઓનર્સ' અભ્યાસક્રમ માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. 2026-27થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ચોથા વર્ષનો સેમેસ્ટર 7નો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા 'ઓનર્સ વિથ રિસર્ચ' અને 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા ઈચ્છતી કોલેજો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. 'ઓનર્સ વિથ રિસર્ચ' માટે 68 કોલેજોએ અરજી કરી હતી. આ દરખાસ્તોની ચકાસણી કરતા જણાયું કે, દરેક વિષયમાં બે પીએચડી ગાઈડ હોવા ફરજિયાત છે. આ શરત મુજબ, 49 કોલેજો પીએચડી ગાઈડના અભાવે અપાત્ર ઠરી હતી. જ્યારે 19 કોલેજો 'ઓનર્સ વિથ રિસર્ચ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે પાત્રતા ધરાવે છે. આ પાત્ર કોલેજોમાં એલઆઈસી કમિટીઓ તપાસ માટે જશે અને તેમનો રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરશે. આ રિપોર્ટના આધારે, કોલેજોને સેમેસ્ટર સાત અને આઠનો અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, માત્ર 'ઓનર્સ' અભ્યાસક્રમ શરૂ કરવા માટે 70 જેટલી કોલેજોએ યુનિવર્સિટીને દરખાસ્તો મોકલી છે. આ દરખાસ્તોની ચકાસણી હાલમાં ચાલી રહી છે, અને અન્ય કોલેજોની દરખાસ્તો પણ આવી રહી છે. ચકાસણી બાદ પાત્રતા ધરાવતી કોલેજોમાં એલઆઈસી કમિટી મોકલવામાં આવશે, તેમ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40થી 42C આસપાસ રહી શકે છે. રાજ્યના 4 શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41C સાથે બીજા ક્રમે રહ્યું છે. તો અમદાવાદમાં 40.4C અને અમરેલીમાં 40.3C મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. બે દિવસ ક્યાં વરસાદ પડશે?હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેમાં 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસો કેવા રહેશે?આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ પરેશાન કરશે.
મહેસાણા જિલ્લાની નાની કડી બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં આયોજિત જંગી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર નિશાન સાધતાં ચૂંટણી માહોલ ગરમાવી દીધો હતો. તેમણે કોંગ્રેસને 'કાગડો' કહીને સંબોધતાં સ્પષ્ટ કર્યું હતું કે, કડીમાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ભૂપેન્દ્ર પટેલનું 'યોગી મોડેલ' અને સુરક્ષાનો ભરોસો સભાને સંબોધતાં નીતિન પટેલે કાયદો અને વ્યવસ્થા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ છે પણ હવે જરૂર પડ્યે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા કડક પણ બની ગયા છે. ભાજપના શાસનમાં ગુંડા તત્વો અને લુખ્ખાઓની કોઈ જગ્યા નથી. જો કોઈ અસામાજિક તત્વ છેડતી કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે, તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ તેને છોડશે નહીં. કોંગ્રેસની 'સાડી' અને 'પૈસા'ની રાજનીતિ પર પ્રહાર ચૂંટણીમાં મતદારોને લલચાવવાના પ્રયાસો અંગે ચેતવણી આપતાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો કે, મેં સાંભળ્યું છે કે, કોંગ્રેસવાળા સાડીઓ અને પૈસા વહેંચવાના છે. બહેનો ચેતી જજો! જો કોઈ આવી વસ્તુઓ વહેંચતા પકડાયું તો પોલીસને કડક સૂચના છે કે ગમે તેવો વગદાર માણસ હશે તો પણ તેને જેલ ભેગો કરવામાં આવશે. કોંગ્રેસ પાસે 'નો ગેરંટી', ભાજપ પાસે 'વિકાસ' નીતિન પટેલે વિકાસના મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, જેઓ હજુ સુધી રામલલાના દર્શને કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલને વંદન કરવા ગયા નથી, તેમને દેશભક્તિની વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભાજપના શાસનમાં કડીમાં થયેલી તેજીને કારણે ખેડૂતોની જે જમીન લાખોમાં હતી તે આજે કરોડોમાં પહોંચી છે. કડી નગરપાલિકાની 28 સીટ બિનહરીફ થવા બદલ તેમણે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, કડીમાં કોંગ્રેસનો 'ક' પણ બાકી રાખવાનો નથી. ‘વેવાઈ જોઈએ એમ ઉમેદવાર જુઓ’ મતદારોને અપીલ કરતા તેમણે સામાજિક ઉદાહરણ આપ્યું હતું કે, જેમ આપણે દીકરી પરણાવતી વખતે સામાવાળાનું ઘર અને સંસ્કાર જોઈએ છીએ, તેમ મત આપતી વખતે પણ ઉમેદવારની શિક્ષા અને સંસ્કાર જોવા જોઈએ. ભાજપે મયંક પટેલ જેવા શિક્ષિત અને સેવાભાવી યુવાનને મેદાનમાં ઉતાર્યા છે જેમના માટે જીત નિશ્ચિત છે. કડીની આ સભામાં નીતિન પટેલે કાર્યકર્તાઓમાં જોશ પૂરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે 'રમણભમણ' થઈ ગઈ છે અને દેશભક્તો માટે માત્ર ભાજપ જ વિકલ્પ છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિનોદ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારોની પેનલના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે વિરોધ પક્ષો અને પક્ષદ્રોહીઓ સામે અત્યંત આકરા પ્રહારો કરી ચૂંટણી માહોલ ગજવ્યો હતો. ‘આખી પેનલ જીતાડો, નહીં તો પદ ભૂલી જાવ’ વોર્ડ નંબર 9ના ઉમેદવારો—ઇલેવન પટેલ, ડિમ્પલ પટેલ, નટવર પટણી અને ભુમિકા મોદીના પ્રચાર અર્થે સંબોધન કરતાં અજય બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો વોર્ડમાં આખી પેનલ વિજેતા નહીં બને, તો તે વોર્ડના કોઈપણ સભ્યને નગરપાલિકામાં મુખ્ય હોદ્દો આપવામાં આવશે નહીં. જે કાર્યકર્તાઓ છૂપી રીતે અપક્ષ ઉમેદવારોને મદદ કરશે, તેમના માટે આગામી 5 વર્ષ સુધી પક્ષના દરવાજા બંધ કરી દેવામાં આવશે. ચૂંટાયા બાદ જો પ્રતિનિધિઓ ગટર, પાણી કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ‘વિકાસ ન દેખાય તે ઘુવડ અને ચામાચીડિયા’ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતાં બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યની 750 બેઠક પર કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચી લીધા છે, જે તેમની હારની કબૂલાત છે. તેમણે કોંગ્રેસી નેતાઓની સરખામણી 'ઘુવડ', 'ચામાચીડિયા' અને 'આંધળી ચાડકણ' સાથે કરતાં ઉમેર્યું કે, જેમ આ પ્રાણીઓને સૂર્યનો પ્રકાશ નથી દેખાતો, તેમ વિપક્ષને રાજ્યમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. તેઓ માત્ર ભાગલા પાડવાનું અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું રાજકારણ રમી રહ્યા છે. વિકસિત ભારતનું લક્ષ્ય: ભક્તો વિરુદ્ધ અસુરોનો જંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને તેમણે પૌરાણિક કથા સાથે સાંકળ્યું હતું. તેમણે ગોવર્ધન પર્વતનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેમ ગોવર્ધન પર્વતને ટેકો આપનારા ગોવાળો ભક્તો કહેવાયા, તેમ ભાજપને ટેકો આપી વિકાસમાં સહભાગી થનારા 'વિકાસના ભક્તો' છે. જેમ પર્વતને નીચે પાડવાની કોશિશ કરનારા અસુરો હતા, તેમ વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરનારા કોંગ્રેસ કે અપક્ષના સમર્થકો 'અસુરો' સમાન છે. અજય બ્રહ્મભટ્ટે પાટણના નાગરિકોને આહવાન કર્યું હતું કે, નગરપાલિકામાં 'પંજો' ન આવે તેની જવાબદારી જનતાની છે. ભાજપની આક્રમક રણનીતિ અને કડક શિસ્તના આદેશોએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને હવે પાલિકા-પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર જીત-હારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 39,349 ફોર્મમાંથી 11 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને 694 બેઠકો પર ભાજપ-વિપક્ષના ગણિત બાદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે બાકીની બેઠકો પર 25,568 ઉમેદવારો ભાવિ નક્કી કરવા મેદાનમાં છે. “વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે એવો વિજય અપાવો”ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણામાં ગર્જના કરી હતી. તેમણે કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે, આ વખતે ભાજપનો વિજય એટલો ભવ્ય હોવો જોઈએ કે ભવિષ્યમાં વિપક્ષોને ચૂંટણી લડતા પહેલા સો વાર વિચાર કરવો પડે. સીએમના આ નિવેદનથી ભાજપ છાવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષે તેને અહંકાર ગણાવ્યો છે. લોકશાહીના પર્વ પર ‘લાંછન’?ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બિનહરીફ થવાની લ્હાયમાં અનેક જગ્યાએ સામા પક્ષના ઉમેદવારોને લોભ-લાલચ આપવા, ડરાવવા કે ધમકાવવાના કિસ્સાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સત્તા મેળવવા માટે જે રીતે નીતિ-નિયમો નેવે મૂકાયા છે, તે ગુજરાતની રાજકીય અસ્મિતા માટે ચિંતાજનક છે. સુરત અને વડોદરામાં ‘રાજકીય ગરમાવો’કાનાણીનો AAP પર કટાક્ષ: સુરતના કદાવર નેતા કુમાર કાનાણીએ ‘આપ’ પર પ્રહાર કરતા કહ્યું કે, “સત્તા તો મળવાની નથી, એટલે આ લોકો વરાછામાં તાજમહેલ બાંધવાના વાયદા પણ કરી શકે છે!” ભાજપ ઉમેદવારને જનતાએ તતડાવ્યા: કતારગામ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને સ્થાનિક મતદારે ગેરકાયદે બાંધકામ અને ડિમોલિશન મુદ્દે જાહેરમાં સવાલ પૂછીને ભીંસમાં લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આર્મીમેનની આંખમાં આંસુ: વડોદરામાં વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર પૂર્વ સૈનિકને ટિકિટ ન મળતા તેઓ કેમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા, જે ઘટનાએ કાર્યકરોમાં સોપો પાડી દીધો હતો. હવે જ્યારે પ્રચારના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે જનતા વાયદાઓ પર ભરોસો મૂકે છે કે પછી કામના આધારે મતદાન કરે છે. આગામી દિવસોમાં સોશિયલ મીડિયા અને જનસભાઓ દ્વારા આ જંગ વધુ તેજ બનશે.
'ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ...', ટ્રમ્પની મોટી જાહેરાત
Donald Trump on Iran war : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિલ ઈસ્ટના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક મોટો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે. ટ્રમ્પ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે.
સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી
Women Reservation Bill : ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. તાત્કાલિક લાભ કેમ નહીં? કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે.
શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં 14 એપ્રિલની રાત્રે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ગુજરાતની પ્રતિષ્ઠીત અને સૌથી જૂની LD એન્જિ. કોલેજની હોસ્ટેલમાં આ ઘટના બનતા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા છે. આ અંગે અમે એલડી કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓએ શું શું જવાબ આપ્યા તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
પોલીસ એક્શન મોડમાં:મોરબીમાંથી 1100 હથિયારો કબજે, 1627ની અટકાયત
મોરબી મનપા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી અસામાજિક પ્રવૃતિઓ કડક હાથે ડામી દેવા ધડાધડ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા તો પોલીસે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમ ચૂંટણીઓ યોજાઈ તે માટે તમામ હથિયારો કબ્જે લઈ ગુનાહિત માનસિકતા ધરાવતા તમામ આરોપીઓ સામે પાસા સહિતનો કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1100 જેટલા હથિયારો પોલીસ પાસે જમા કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે 450 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ 1627 શખ્સો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે, . જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી માટે પ્રોહિબિશન એક્ટ હેઠળ 200 જેટલા કેસ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લામાંથી 30 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે અને 10 જેટલા માથાભારે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા ચાર શખ્સને ઝડપી લેવામાં આવ્યા
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના શનાળા રોડ પર આવેલા લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલી “શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ” નામની ઓફિસમાં IPL મેચ પર રમાતા ક્રિકેટના સટ્ટા ઉપર દરોડો પાડ્યો હતો. આ ઓફિસમાં મુખ્ય આરોપી હાર્દિક રંગપરીયા બહારથી લોકોને બોલાવી IPL-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાનું ખુલતા પોલીસે આ ક્રિકેટનો સટ્ટો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ચાર વ્યક્તિ આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો-જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જેમાં મુખ્ય આરોપી હાર્દિકભાઈ પ્રવીણભાઈ રંગપરીયા (રવાપર બોની પાર્ક, ઓમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 502, મોરબી), હાર્દિકભાઈ બાબુભાઈ રૂપાલા (નાની વાવડી, ઓમ પાર્ક, મોરબી), ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવિયા (ઉમિયા સર્કલ નજીક, તપોવન રેસીડેન્સી, બ્લોક નં. 303, મોરબી) અને વિશાલ દેવદાનભાઈ ડાંગર (રવાપર, મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે તેમના પાસેથી રૂપિયા 7,500 રોકડ તેમજ કુલ રૂપિયા 3 લાખની કિંમતના 5 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,07,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન ઉત્તમભાઈ રમેશભાઈ કાવર નામના અન્ય એક વ્યક્તિનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવ્યું હતું.
માર્ચ મહિના અને એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કમોસમી વરસાદ તેમજ વાદળછાયાં વાતાવરણને પગલે થોડો સમય ગરમીથી રાહત મળ્યા બાદ હવે ઉનાળાના આકરા મિજાજનો અનુભવ થવા લાગ્યો છે. સવારથી સૂર્ય નારાયણના તાપની અસર જોવા મળી રહી છે અને બપોર સુધીમાં આકરી ગરમીમાં પરિણમી રહી છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગરમીના જોરમાં ઝડપથી ઉછાળો આવ્યો છે અને મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ જયારે ન્યુનત્તમ તાપમાન 22 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઇ રહ્યું છે. હાલ આકરી ગરમીને પગલે હીટ વેવ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જેના કારણે બપોર સમયે લૂ ફૂંકાઇ રહી છે. મોરબી શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી ઊંચકાયો હતો જેના કારણે બપોરના સમયે રસ્તા પર હવે કર્ફ્યું જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જો કે આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવતા રાજકીય પક્ષની પણ ચિંતા વધી છે. સવારે બે થી ત્રણ કલાક સુધી ડોર ટુ ડોર ફરનારા ઉમેદવારો તડકો તપતા બપોરના સમયે પ્રચાર કરવાથી બચી રહ્યા છે અને આ સમયે ડિજિટલ પ્રચાર પ્રસાર તરફ વળ્યા છે, તો મોડી રાત્રી સુધી જાહેર સ્થળ કે સોસાયટીઓમાં બેઠક અથવા નાની મોટી સભા કરી મતદારોને રીઝવવા મથી રહ્યા છે. ઉમેદવારો મતદારોને લાવવા, લઇ જવા વાહનની વ્યવસ્થા કરવા તૈયાર આવી આકરી ગરમીમાં 26 એપ્રિલના રોજ થનારા મતદાનમાં પણ ઉમેદવારોને ઓછાં મતદાનની ચિંતા સતાવી રહી છે, ત્યારે હાલ મતદાનના દિવસે ઉમેદવારો દ્વારા વહેલી સવારથી બપોર સુધીમાં અને મતદાનના અંતિમ બે થી ત્રણ કલાક દરમિયાન વધુ ને વધુ મતદાન કરવવા તૈયારી કરી રહ્યા છે . વધુ મતદાન માટે ઉમેદવારો પોતાના ખર્ચે વાહન વિસ્તાર સુધી લેવા મૂકવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, ખાસ કરીને રીક્ષા પેસેન્જર વાહનની શોધખોળ ચાલી રહી છે. મનપાએ હીટવેવથી કેમ બચવું તેની માર્ગદર્શિકા જાહેર કરી વધતી ગરમીના કારણે સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક લાગવા, ઉબકા ઉલટી કે ડાયેરિયા થવાની શક્યતાને ધ્યાને લઇ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તમામ મુખ્ય માર્ગો પર બેનર, કિઓસ્ક થકી લોકોને ગરમીથી કેમ બચવું તેની સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી:કલેક્ટર અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે હેતુથી આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી તથા વિભાગીય પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરવા અને આચારસંહિતાની ચુસ્ત અમલવારીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત અધિકારીઓને સ્ટ્રોંગરૂમ અને ઈવીએમની સલામતી અંગે જરૂરી પગલાં લેવા તાકીદ કરી હતી. ગત ચૂંટણીઓમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા વિસ્તારોમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ હાથ ધરવા, મતદાનના દિવસે બૂથવાઈઝ પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવા અને સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાન મથકો અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વિભાગને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સૂચનાઓ આપી છે. જે અંતર્ગત પોલીસ સ્ટેશનવાર સઘન પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ યોજવા જણાવાયું છે. સાથે જ, હથિયાર જમા લેવાની કામગીરી, ભૂતકાળમાં થયેલા ચૂંટણીલક્ષી ગુનાઓ અને ગુનેગારોની માહિતી એકત્ર કરવા તેમજ તડીપાર અને જામીન અંગેની કાર્યવાહી કરવા સૂચના આપી છે. ચૂંટણીલક્ષી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવા પણ જણાવાયું છે.
વઢવાણના વસ્તડી ગામ પાસે ભોગાવો નદીના પુલ 1000 દિવસ પહેલા ધરાશાયી થયો હતો. આથી રૂપિયા 15 કરોડના ખર્ચે નવો મંજૂર કરાયો છે પરંતુ 1000 દિવસ પછી ‘ચા ચૂડી ઘડાવું છું જા કાબર બેન આવું છું’નો ઘાટ સર્જાયો છે. આથી હજારો લોકોને 2 કિમીનો ફેરો ફેરવો પડે છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે આવેલા પુલ પરથી 15થી વધુ ગામોના લોકો સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ અવર જવર કરવા માટે મહત્વનો પુલ છે. આ 2023માં પસાર થતા ડમ્પરનો ભાર સહન ન કરી શકતા ધરાશાયી થયો હતો. ત્યારે આ પુલ પરથી પસાર થતા 15 ગામોના હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં હાલ પુલ પાસે ભોગાવો આપવામાં આવેલું ડાયવર્ઝન પણ કાચુ પાકુ બન્યું હોવાથી જો ભોગાવો નદીમાં પાણી આવે તો ચુડા વઢવાણ તાલુકાના 15 ગામોના લોકો જિલ્લા સાથે સંપર્ક વિહોણા થઇ જાય છે. આ અંગે વસ્તડી ગામના નરેન્દ્રસિંહ ગોહિલ, કૃપાલસિંહ વગેરેએ જણાવ્યું કે વસ્તડી ગામનો પુલ તૂટી ગયા બાદ મહિનાઓ સુધી જેમને તેમ સ્થિતિમાં હતો અને લોકોને પાસેથી બનાવાયેલા માર્ગમાંથી પસાર થવું પડી રહ્યું હતું. ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને આગેવાઓ આ પુલની મુલાકાત લઇ તેની સ્થિતિ અંગે જાણકારી મેળવી પુલ બનાવવા ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા આ સ્થળે તૂટેલા પુલની સ્થિતિ અંગે તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવી હતી. જેના રિપોર્ટમાં નવો પુલ બનાવવા માટે જણાવાતા વસ્તડીનો નવો પુલ બનાવવા મંજૂરી અપાઇ હતી. ભોગાવો નદીમાં પાણી હોવાને કારણે કામગીરી પર અસરઆ પુલ વડોદ ડેમ પાસે આવેલો છે. આથી ભોગાવો નદીમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે કામગીરી પર અસર થાય છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી રાખવાની માંગ હોય છે આથી પુલની કામગીરી ઝડપી કરવામાં મુશ્કેલી પડે છે. - વિજયભાઈ સોલંકી, નાયબ ઈજનેર
દ્રાક્ષ થઈ મોંઘી:નાસીક અને સોલાપુરી તરફથી હાલ દ્રાક્ષ આવતી ન હોવાથી કિલોએ રૂ. 100થી 150નો વધારો
ઝાલાવાડમાં ઋતુ તેમજ સિઝન મુજબ લોકો ફ્રૂટ તેમજ શાકભાજીનો આહાર લે છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોની બજારો સહિતના સ્થળોએ નાસીક તેમજ સોલાપુરી તરફથી આવતી લીલી અને કાળી દ્રાક્ષ વર્તમાન સમયે આવતી નથી. પરિણામે ગત વર્ષ કરતા આ વર્ષે બંને દ્રાક્ષોના ભાવોમાં કિલોએ રૂ. 100થી 150નો વધારો જોવા મળતા દ્રાક્ષ પણ લોકોને ગરમ લાગી રહી છે. હાલ લીલી દ્રાક્ષ કિલોએ રૂ.150થી 200 અને કાળી દ્રાક્ષ કિલોએ રૂ. 250થી 300ના ભાવે હાલ વેચાણ થઇ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા હોય તેમ દિવસો હાલ તપી રહ્યા છે. જ્યારે હાલ 41 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે જિલ્લાવાસી ગરમીથી બચવા વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જેમાં લોકોને ઠંડક આપતી અને મનપસંદ એવી કાળી અને લીલી દ્રાક્ષ આરોગી રહ્યા છે. આ સિઝનમાં શહેરી વિસ્તારમાં એક વેપારી દીઠ 150થી 200 મણ દ્રાક્ષની ખપત થઇ રહી હતી. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં દ્રાક્ષના અંદાજે 30થી વધુ વેપારી આવેલા છે. જિલ્લામાં મોટા ભાગની દ્રાક્ષો નાસીક તેમજ સોલાપુરી તરફથી આવતી હોય છે. વધુ ગરમી હોય ત્યારે દૈનિક આ વેપારીઓને પણ 7000થી વધુ મણ દ્રાક્ષની ખપત થતી રહી છે. નાસીક તેમજ સોલાપુરી તરફથી લીલી અને કાળી દ્રાક્ષ આવતી હતી તે હવે નથી આવતી. કારણ કે હાલ દ્રાક્ષની સિઝન પૂર્ણતાના આરે છે અને હવે ગરમી વધુ પડતી હોવાથી માંગ વધી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે બંને દ્રાક્ષોના ભાવોમાં કિલોએ રૂ. 100થી 150નો વધારો જોવા મળતા દ્રાક્ષ પણ લોકોને ગરમ લાગી રહી છે. ગત વર્ષ ભાવ રૂ. 150થી 200 હતોગત વર્ષે કાળી દ્રાક્ષના કિલોએ રૂ. 150થી 200 હતા જે આ વર્ષે 250થી 300 થઇ ગયા છે. લીલી દ્રાક્ષના ગત વર્ષે કિલોએ રૂ.100થી 1500 હતા તેના હાલ કિલોએ રૂ. 150થી 200 થઇ ગયા છે. - કિશોરભાઈ પ્રજાપતિ, ફ્રૂટના વેપારી
કલેકટરે દ્વારા નિરીક્ષણ:મોડાસા કલેક્ટર કચેરીમાં 213 વસ્તુઓનો ઈ- વેસ્ટ નિકાલ
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદી જુદી શાખાઓમાં રહેલા જૂના અને બિનઉપયોગી થઈ ગયેલા 213 ઇલેક્ટ્રોનિક્સ સાધન સામગ્રીનો ઈ-વેસ્ટ વસ્તુઓનો નિકાલ કરાયો હતો. કલેક્ટર કચેરી અરવલ્લીની વિવિધ શાખાઓમાં વપરાતી જૂની કોમ્પ્યુટર, કોમ્પ્યુટર પેરીફેરલ્સ તથા ઈલેક્ટ્રોનિક્સ સાધન સામગ્રીની કુલ 213 વસ્તુઓનો નિકાલ કરાયો છે. આ વસ્તુઓ નિયત આયુષ્ય મર્યાદા વટાવી ગયેલી વપરાશી અને રિપેર નહીં થઈ શકે તેવી કાર્યક્ષમતા ગુમાવેલી હતી. જેને રાઇટ ઓફ કરવા પાત્ર હતી. તેનો નિકાલ ઈ-વેસ્ટ નિકાલ માર્ગદર્શિકા અનુસાર કરાયો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની 30, 8 તાલુકા પંચાયતની 146 તેમજ મોડાસા અને બાયડ બે નગરપાલિકાની કુલ 60 બેઠકો સહિત જિલ્લાની કુલ 236 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. ધનસુરા શામળાજી અને મેઘરજ તાલુકા પંચાયતની તેમજ બાયડ નગરપાલિકાની અમુક બેઠકો બિરહરીફ થઈ જિલ્લામાં ઉપરોક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 586 કોંગ્રેસ ભાજપ અને આપ તેમજ અપક્ષના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જ્યારે મોડાસા પાલિકાના લઘુમતી વિસ્તારની 9 બેઠકો પર ભાજપે ચૂંટણી લડવામાં પાછી પાની કરી છે. મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ ભિલોડા શામળાજી અને સાઠંબા તા.પં.ની કુલ 146 બેઠકો ઉપર 401 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર 57 ઉમેદવારો, શામળાજી તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર 53 ઉમેદવારો, મેઘરજ તાલુકા પંચાયતની 21 બેઠકો ઉપર 65 ઉમેદવારો, બાયડ તાલુકા પંચાયતની 18 બેઠકો ઉપર 40 ઉમેદવારો, ભિલોડા તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર 69 ઉમેદવારો, ધનસુરા તાલુકા પંચાયતની બેઠકો ઉપર 31 અને સાઠંબા તા.પં.ની 16 બેઠકો 38 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મોડાસા પાલિકામાં 89 ઉમેદવારો વચ્ચે જંગ મોડાસા નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો ઉપર ભાજપે 27 ઉમેદવારો અને કોંગ્રેસે તમામ બેઠકો ઉપર 36 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે ભાજપે લઘુમતી મતવિસ્તારમાં 9 બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી નથી. મોડાસા પાલિકામાં ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ સહિત કુલ 89 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બાયડ પાલિકાના 24 વોર્ડમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપના 6 કોંગ્રેસના ત્રણ અને આપના 7 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ચૂંટણીમાં જામશે રસાકસી:સાબરકાંઠા જિલ્લા પંચાયતની 8 બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
સાબરકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને ઉમેદવારીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ 34 બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, તો કેટલાક સ્થળોએ અપક્ષ અને અન્ય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે. 8 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપે તમામ 34 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને મજબૂત દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે પણ તમામ 34 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જિલ્લામાં આપનો પ્રભાવ વધ્યો હોય તેમ જણાય છે. કુલ 34 બેઠકોમાંથી 26 બેઠકો પર આપના ઉમેદવારો મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય આદિજાતિ પાર્ટી (BTP/ભાઆપ): 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 4 બેઠકો પર અપક્ષો નસીબ અજમાવી રહ્યા છે. ABP અને કોમા 1 - 1 બેઠક પર પ્રતિનિધિત્વ ધરાવે છે. સૌથી વધુ ઉમેદવારો ધરાવતી બેઠકજિલ્લાની બે બેઠકો એવી છે જ્યાં સૌથી વધુ રસાકસી જોવા મળશે. બેઠક નં. 17 કણાદર અને બેઠક નં. 22 લક્ષ્મીપુરા પર સૌથી વધુ 5 - 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. અહીં મુખ્ય પક્ષો ઉપરાંત અપક્ષ અને અન્ય નાના પક્ષોના કારણે મતોનું વિભાજન થવાની શક્યતા છે.
પોલીસની સરાહનીય કામગીરી:પરિવારથી વિખૂટા પડેલા દિવ્યાંગનું પુન: મિલન
મોડાસાના સાલમપુરના માનસિક દિવ્યાંગ મુકેશભાઈ રમેશભાઈ બજાણીયા છેલ્લા છ માસથી ગુમ થયા હતા. જે ગાંભોઈ પોલીસ સ્ટેશનને સૂરજપુરા ગામમાંથી મળતાં તેને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરમાં લવાયો હતો. માનસિક દિવ્યાંગનુ કાઉન્સેલિંગ કરતાં નામ સરનામું જણાવતા પરિવારનો સંપર્ક કરાયો હતો. છ માસથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ દીકરો મળી જતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. સંસ્થા દ્વારા ગુમ માનસિક દિવ્યાંગોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવાની આ 74 મી ઘટના છે. અત્યારે સુધી 20 માનસિક દિવ્યાંગ મહિલાઓને સંસ્થા દ્વારા પુનર્વસન કરાયું છે.
માલપુરમાંથી ફરાર ચાર આરોપીઓ પકડાયા:માલપુરમાંથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટના ગુનાના 4 આરોપી પકડાયા
અરવલ્લી જિલ્લામાં આગામી ચૂંટણીઓને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે માલપુર પોલીસ સ્ટેશનના જુદી જુદી કલમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા 4 આરોપીઓને માલપુર ત્રણ રસ્તા પાસેથી જિલ્લાની સ્કવોડ ટીમ નં 3 અને 4ની ટીમે ઝડપી પાડ્યા હતા. જિલ્લા નાસતા ફરતા સ્કવોડ ટીમ નં3-4ના ઇન્ચાર્જ જે કે જેતાવત પીએસઆઇ બાયડની સૂચનાના ભાગરૂપે સ્ટાફ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે માલપુર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ-3 ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષના સમયથી નાસતા ફરતા આરોપીઓ પ્રકાશભાઈ જગાભાઈ ખાંટ, વિજયભાઈ રામાભાઈ ઉર્ફે કોદરજી ખાંટ, પ્રવીણભાઈ જગાભાઈ ખાંટ અને જયકર ભાઈ ઉર્ફે જાકીરભાઈ શિવાભાઈ ખાંટ તમામ રહે. નાથાવાસ તા.માલપુર જિ.અરવલ્લી માલપુર ત્રણ રસ્તા ઉપર ઉભા હોવાની માહિતીના આધારે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી માલપુર પોલીસને સોંપ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અમલીકરણ અંતગર્ત 4 વર્ષના સ્નાતક અભ્યાસનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે.આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી 19 જેટલી કોલેજોમાં ''ઓનર્સ વિથ રિસર્ચ'' એટલે કે ચાર વર્ષનો નવો સ્નાતક અભ્યાસક્રમ શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં જે કોલેજો દ્વારા ત્રણ વર્ષના સામાન્ય સ્નાતક અભ્યાસક્રમની સાથે હવે ઓનર્સ વિથ રિસર્ચ'' 4 વર્ષના અભ્યાસક્રમ શરૂ કરવા માટે કોલેજો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે ઉત્તર ગુજરાતની કુલ 68 કોલેજોએ ઉત્સાહ દાખવી દરખાસ્ત કરી હતી. જોકે અભ્યાસ શરૂ કરવા માટે જરૂરી શૈક્ષણિક માપદંડો, સંશોધન માટેની સુવિધાઓ અને નિષ્ણાત ફેકલ્ટીની ચકાસણી કરતા માત્ર 19 કોલેજો જ પ્રાથમિક તબક્કે પાત્રતા ધરાવતી માલૂમ પડી છે. આ પાત્ર ઠરેલી કોલેજોમાં હવે LIC (Local Inquiry Committee) દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને અંતિમ મંજૂરી આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ચાર વર્ષનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં સ્નાતક પૂર્ણ કરવા માંગતા હોય તેઓ તેમ કરી શકશે, પરંતુ જેમને સંશોધન ક્ષેત્રે આગળ વધવું છે અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું છે, તેમના માટે આ ચોથું વર્ષ વરદાનરૂપ સાબિત થશે. બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા આ માટેના નવા અભ્યાસક્રમો પણ તૈયાર કરી મંજૂર કરી દેવામાં આવ્યા છે. છાત્રો ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા થશે : કુલપતિઆ અંગે કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પદવી આપવાનો જ નહીં પણ તેમને આધુનિક યુગના પડકારો માટે તૈયાર કરવાનો છે. ઓનર્સ વિથ રિસર્ચ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલ પર સંશોધન કરતા શીખશે. જે તેમને ભવિષ્યમાં સીધા જ પીએચ.ડી. કે આંતરરાષ્ટ્રીય સ્તરની તકો મેળવવામાં મદદરૂપ થશે. અમે ગુણવત્તા જાળવવા માટે જ ખૂબ ઓછી કોલેજોને હાલ મંજૂરી આપી રહ્યા છીએ.આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ઉચ્ચ શિક્ષણના સ્તરમાં મોટો સુધારો આવશે.
ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા:બનાસકાંઠામાં ધો-8ના ગુજરાતી પ્રશ્નપત્રમાં 4 શબ્દો ખોટા છપાયા
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાના ગુજરાતી પ્રશ્નપત્રમાં ભાષાકીય ભૂલો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રશ્નપત્રમાં જયંતિના સ્થાને જયંતી, પુસ્તકપ્રેમીના બદલે પુસ્તક પ્રેમી અને લહાવોના બદલે લ્હાવો જેવા શબ્દો ખોટી રીતે છપાતા શિક્ષણ વિભાગની ભાષાશુદ્ધિ પર સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન ફરી એક વાર ધોરણ-8ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ગંભીર ભાષાકીય ભૂલો જોવા મળી હતી. પ્રશ્નપત્રમાં પ્રશ્ન એકના પેટા પ્રશ્ન બમાં પોસ્ટર આધારિત પ્રશ્નમાં એક-બે નહીં પરંતુ 4 જોડણીની ભૂલો જોવા મળતા પેપર સેટરની બેદરકારી સામે આવી છે. પ્રશ્ન-1ના પેટા વિભાગ બમાં આપેલા પોસ્ટરમાં અનેક ખામીઓ રહી ગઈ હતી. તેમાં લ્હાવો શબ્દ લખાયો હતો, જ્યારે સાચી જોડણી લહાવો થાય છે. તે જ રીતે પુસ્તક પ્રેમી અલગ લખાયું હતું, જ્યારે યોગ્ય શબ્દ પુસ્તકપ્રેમી છે. ઉપરાંત જન્મજયંતિ શબ્દમાં પણ ભાષાકીય ક્ષતિ જોવા મળી હતી. યોગ્ય રીતે જયંતી અથવા જન્મજયંતી લખાવું જોઈએ. સાથે જ પુસ્તક મેળો અલગ લખાયો હતો, જ્યારે સાચો શબ્દ પુસ્તકમેળો છે.
IPL 2026ની 25મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. KKRએ આ સીઝનમાં 5 મેચ રમ્યા છે. તેને 4 મેચમાં હાર મળી છે અને એક મુકાબલો વરસાદને કારણે રદ રહ્યો છે. GTએ 4 મેચ રમી છે અને તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હાર મળી છે. ટીમે છેલ્લી બે મેચમાં દિલ્હી અને લખનઉને હરાવ્યા છે. KKR સામે GTનું પલડું ભારે IPL માં બંને ટીમ વચ્ચે 4 મેચ રમાયા છે. આ દરમિયાન GTએ 3 મેચ પોતાના નામે કરી છે. KKR માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. IPL 2025માં બંને ટીમ વચ્ચે એક મેચ થઈ હતી, જેને GTએ 39 રનથી જીતી હતી. બટલરે 2 ફિફ્ટી ફટકારી આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચમાં 176 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે. કોલકાતાના ખેલાડીઓનું ખરાબ ફોર્મ યથાવત કોલકાતા તેના સ્ટાર ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. રિંકુ સિંહ, કેમરૂન ગ્રીન અને કેપ્ટન અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ IPL 2026માં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. અંગક્રિશ રઘુવંશી કોલકાતાનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં 182 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. જ્યારે બોલિંગમાં વૈભવ અરોરાએ 5 મેચમાં 6 વિકેટ લીધી છે. પહેલી મેચમાં 200+ સ્કોર બન્યો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ-ફ્રેન્ડલી માનવામાં આવે છે, પરંતુ અહીં દરેક મેચમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે. આ મેદાનની સપાટી પર સારો બાઉન્સ અને પેસ મળે છે, જેનાથી બેટર્સને સરળતાથી શોટ રમી શકે છે. આ સીઝનમાં અહીં એક મેચ રમાઈ છે. 4 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 204 રન જ બનાવી શક્યું હતું. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીં 17 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહેવાનું છે. દિવસનું મહત્તમ તાપમાન લગભગ 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહેશે. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઈંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર: ફિન એલન.
શાસક પક્ષ બનવા ચૂંટણીમાં ઉમેદવારો સુનિશ્ચિત કરવા આર્થિક સદ્ધરતા મહત્વનું પરિબળ બની ગયું હોય તેમ હિંમતનગર પાલિકાના ભાજપના 42 પૈકી 16 ઉમેદવારો 1 કરોડથી માંડી 52 કરોડ સુધીની સ્થાવર જંગમ મિલકતો ધરાવતા ગર્ભશ્રીમંત હોવાનું ખૂલ્યું છે. તેમની સામે રોજેરોજ કમાઈને ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જેમણે લગભગ એકસરખી 25 હજાર રોકડ, 1 તોલો સોનું અને 5 તોલા ચાંદીની વિગતો દર્શાવી છે. ભાજપમાં પણ ઉચ્ચ અભ્યાસ કરનાર યુવતીએ પોતાની પાસે 15 હજાર રોકડ દર્શાવી છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ રજૂ કરેલા એફિડેવિટમાં 44 ઉમેદવારોએ ધો-6 થી ધો-12 સુધીનો અભ્યાસ કર્યાનું જાહેર કર્યું છે. જ્યારે 26 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. હિંમતનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠક પૈકી 3 બેઠક બિનહરીફ થઈ ગયા બાદ 41 બેઠક માટે 82 ઉમેદવાર મેદાનમાં છે. તે પૈકી કોંગ્રેસના 3 ઉમેદવારોએ બબ્બે ત્રણ-ત્રણ વોર્ડમાં ઉમેદવારી કરી છે. 82 ઉમેદવારોમાં ડોક્ટર, એન્જિનિયર, કાયદા નિષ્ણાંત, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારોની સાથે ધો-6 થી ધો-12 સુધીના અભ્યાસવાળા ઉમેદવારો પણ છે. વોર્ડ નં-7 માં ઉમેદવારી કરનાર નટવરલાલ મણીલાલ શાહે MBBS PGQM AHO થયેલા છે. તો લો માં પીએચડી કરનાર મહિલા અને જરનાલીઝમમાં માસ્ટર ડિગ્રી મેળવનાર ઉમેદવાર પણ છે. 12 ઉમેદવારોએ પ્રાથમિક મળી કુલ 44 ઉમેદવારો માધ્યમિક શિક્ષણથી આગળ વધી શક્યા નથી. એ જ રીતે સંપત્તિમાં પણ પ્રથમ 10 ક્રમે આવતાં ઉમેદવારોમાં ભાજપના 8 અને કોંગ્રેસના 2 ઉમેદવાર છે. વોર્ડ-1 ના ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ 52 કરોડના આસામી છે તો તેમના જ પક્ષના ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રિયંકાબેન સલાટ પાસે 15000 રોકડ છે. ભાજપના વોર્ડ-6 માં ઉમેદવારી કરનાર હિતેશભાઈ પટેલ પણ 34 કરોડના આસામી છે. સૌથી વધુ લોન 7.81 કરોડ હિતેશ પટેલના નામે છે. વોર્ડ-1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ ગન લાયસન્સ પણ ધરાવે છે. શેર ડિબેન્ચર્સ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ 14 કરોડ જેટલું અમૃતભાઈ પુરોહિત કરેલું છે. 82 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોએ પોતાના મકાન હોવાનું જાહેર કર્યું નથી. કરોડપતિ ઉમેદવારો ઉચ્ચ શિક્ષણ ઓછો અભ્યાસ બાકી લોન/ ઓવરડ્રાફ્ટ આર્થિક સામાન્ય
યુવક માછીમારી કરવા જતાં મોતને ભેટ્યો:હિંમતનગરના હાથરોલ ગામનો યુવાન તળાવમાં ડૂબી જતાં મોત
હિંમતનગરના હાથરોલના તળાવમાં માછીમારી કરવા ગયેલા 25 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ બનાવના બીજા દિવસે મિત્રો દ્વારા પરિવારને કરાઇ હતી. મળતી માહિતી મુજબ, હાથરોલ ગામનો વતની અમ્રતભાઈ પોપટભાઈ મકવાણા (25) તેના ત્રણ અન્ય મિત્રો સાથે ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. માછીમારી દરમિયાન અચાનક અમ્રતભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા મિત્રો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે આ ગંભીર બનાવની જાણ પરિવારને કરાઇ ન હતી. આ ઘટના બની તેના બીજા દિવસે મિત્રો દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને સમગ્ર મામલે જાણ કરાઇ હતી. દીકરાના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તાત્કાલિક સ્થાનિક તંત્ર અને ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરાઇ હતી. હિંમતનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને બહાર કાઢી હતી. ગાંભોઈ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે રૂપાલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માછીમારી કરવા ગયેલા આશાસ્પદ યુવાનના મોતથી હાથરોલ ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે મિત્રોએ મોડી જાણ કેમ કરી તે બાબત પણ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
આબુ રોડના વૃદ્ધનું કરુણ મોત:રસ્તો ઓળંગતાં વૃદ્ધનું વાહનની ટક્કરે મોત
પાલનપુર તાલુકાના ચંડીસર નજીકદીકરીના ઘરે જવા માટે આવેલા વૃદ્ધરસ્તો ઓળંગી રહ્યાહતા. ત્યારે અજાણ્યાવાહને ટક્કર મારતાતેમનું મોત નીપજ્યુંહતું. અકસ્માત બાદવાહન ચાલક ફરારથઈ ગયો હતો, ગઢપોલીસે અજાણ્યા વાહન ચાલક સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનના સિરોહી જિલ્લાનાઉમરની અખરાભઠ્ઠા ગામના 56 વર્ષીયમંગલારામ બદાજી માજીરાણા પોતાનીદીકરી મીરાબેનના ઘરે જવા માટે ચંડીસરઆવ્યા હતા. રવિવારની રાત્રિના સમયેતેઓ દીપ હોટલ પાસે હાઈવે પરથી રસ્તોઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યાવાહન ચાલકે પૂરઝડપે અને ગફલતભરીરીતે વાહન હંકારી તેમને જોરદાર ટક્કરમારી હતી. અકસ્માત સર્જી વાહન ચાલકઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયોહતો.અકસ્માત બાદ લોહીલુહાણહાલતમાં 108 મારફતે પાલનપુર સિવિલમાં સારવાર સારવાર દરમિયાન તેમનુંમોત નિપજ્યું હતું.
ભગવાનના દર્શન કરાવવાના બહાને અંધશ્રદ્ધાની જાળ બિછાવી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ ચલાવતું રિઢા દંપતી પૈકીના પતિને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શેખ દંપતી રાજકોટ, વડોદરા, ગોધરા, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે વૃદ્ધાઓને ભોળવી લૂંટ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા એલસીબીએ ભગવાનના દર્શન કરાવીશું કહી વૃદ્ધ મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતી શેખ દંપતીની ટોળકીના પતિ ઈકબાલ કમરૂદ્દીન શેખને પાલનપુરમાંથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પત્ની સલમા ઉર્ફે સલીમા ઈકબાલ શેખ હજુ ફરાર છે. આ દંપતી ધાર્મિક સ્થળો પાસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતું હતું. કોઈ દંપતીને સંતાન થયાનું કહીં વિશ્વાસમાં લઈ દાગીના રૂમાલમાં મૂકાવી 100 ડગલાં નીચું જોઈ ચાલશો તો ભગવાનના દર્શન થશે કહી મહિલાઓને ભોળવતા અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. થોડા દિવસ પહેલાં પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં ઉષાબેન ઓઝા પાસેથી રૂ.1.38 લાખના 5 તોલા જેટલા સોનાના દાગીના આ જ રીતે લૂંટાયા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સોનાના દાગીના, બાઇક અને મોબાઇલ સહિત રૂ.5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટોળકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઈકબાલ શેખની 20થી વધુ ગુનામાં સંડોવણીઈકબાલ કમરૂદ્દીન શેખ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ગોધરા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, કલોલ, રાજૂલા સહિતના પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ છેતરપિંડી, ચોરી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયા છે. તાજેતરમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડી ગુનો નોંધાયો હતો. વર્ષ 2023માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. મહારાષ્ટ્રના મલાડ અને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યુ હતું.
રાજકારણના અખાડામાં ટિકિટ મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે પરંતુ, વડોદરામાં એક એવી ઘટના સામે આવી છે જે ભક્તિ અને શ્રદ્ધાની લોકગાથા જેવી ભાસે છે. ભાજપના પાયાના કાર્યકર કોકિલાબેન પવારે વર્ષ 2015માં ટિકિટ ન મળતા અઘરી બાધા લીધી હતી કે, જ્યાં સુધી પક્ષ ટિકિટ નહીં આપે, ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. કાળઝાળ ગરમી હોય કે ચોમાસાનો કાદવ, સતત પાંચ વર્ષ સુધી ઉઘાડા પગે ફરીને પોતાની વફાદારી સાબિત કરનાર કોકિલાબેનની આ 'તપસ્યા' આખરે 2026ની ચૂંટણીમાં ફળી છે. અનેક ટીકાઓ અને શારીરિક કષ્ટો સહન કર્યા બાદ પક્ષે તેમની ધીરજની કદર કરતા ઉમેદવારી જાહેર કરી છે, જે આજે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. લોકોએ કહ્યું 'ગાંડપણ' પણ શ્રદ્ધા ડગી નહીંઆ ઘટનાક્રમની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. જાહેર જીવનમાં સક્રિય સ્ત્રી માટે કાળઝાળ ગરમી, કાદવ કે પથરાળ રસ્તાઓ પર ઉઘાડા પગે ફરવું એ શારીરિક અને સામાજિક બંને રીતે પડકારજનક હતું. વર્ષો વીતતા ગયા અને ઋતુઓ બદલાઈ, પણ કોકિલાબેનનો નિર્ણય અટલ રહ્યો. વડોદરાના રાજકારણમાં તેઓ ચર્ચા અને ક્યારેક 'હાંસી'નું પાત્ર પણ બન્યા. કેટલાક લોકોએ તેને 'ટિકિટ મેળવવાનું ગાંડપણ' ગણાવ્યું, પરંતુ તેમના માટે આ માત્ર જીદ નહીં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા હતી. પગમાં કાચ વાગ્યો ને નિયતિએ કસોટી કરી2020માં એક સામાજિક પ્રસંગમાં તેમના પગમાં કાચ વાગતા ઊંડો ઘા પડ્યો હતો. લોહીલુહાણ હાલત અને અસહ્ય પીડા જોઈ પરિવારે તેમને બાધા છોડવા વિનંતી કરી. અંતે, સ્વાસ્થ્યના હિતમાં અને સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ, પક્ષ માટેની તેમની મહેનત અને આશા જીવંત રહી. એવુ કહેવાય છે કે, મહેનત અને શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. તેમની પાંચ વર્ષની આ આકરી તપસ્યા અને નિઃસ્વાર્થ સેવાની નોંધ ભાજપના મોવડી મંડળે લીધી. 2026ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે કોકિલાબેન પવારનું નામ જોઈ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કોકિલાબેનનો કિસ્સો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, રાજકારણ માત્ર આંકડાકીય ગણિત નથી. ક્યારેક અતૂટ સંકલ્પ શક્તિ અને ધૈર્ય પણ ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજે તેઓ ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોતરાયા છે, જે સાબિત કરે છે કે દ્રઢ મનોબળ આગળ દરેક મુશ્કેલી વામણી છે.
ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ:ડાલાનું ટાયર ફાટતાં બાઇક સવારને અડફેટે લેતાં મોત
સમી-રાધનપુર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માતની ઘટનામાં સનાડ ગામના એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. સનાડ ગામનો 30 વર્ષીય અનિલ પ્રજાપતિ નામનો યુવક પોતાનું બાઈક લઈને સમીથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની પાછળ આવી રહેલા એક પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ડાલાએ આગળ જઈ રહેલા અનિલના બાઈકને જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે પાટણ તરફ ખસેડવામાં આવ્યો હતો.જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવાર અને સનાડ ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતદેહને ધારપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થતા જ હવે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો તમારા આંગણે મત માંગવા આવશે. ત્યારે તમારા માટે એ જાણવું પણ મહત્વનું છે કે, તમે જેને મત આપીને ચૂંટવાના છો તે ઉમેદવાર કેટલો શિક્ષિત છે? ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી સમયે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં રજૂ કરાયેલા શૈક્ષણિક માહિતીનું ભાસ્કરે વિશ્લેષણ કર્યું છે. જેમાં ભાજપ-કોંગ્રેસે 9-9 વકીલોને અને 1 તબીબને ટિકિટ આપી છે. જો કે, 16 ઉમેદવારો એવા પણ છે કે, જેઓની શૈક્ષણિક લાયકાત 8 પાસ કે તેથી ઓછી છે. ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતનું સરવૈયુંભાજપના નવા 72 ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ મોટું અંતર જોવા મળે છે. પક્ષે 22 એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ ઉચ્ચ શિક્ષિત છે. જેમાં 3 ઉમેદવારો પીએચ.ડી. (ડોક્ટરેટ) ધરાવે છે, જ્યારે 9 ઉમેદવારો એડવોકેટ છે. આ ઉપરાંત ટીમમાં આર્કિટેક્ટ, એમબીએ, તબીબ અને પત્રકારત્વનો અભ્યાસ કરનારા પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો પણ છે જેઓનું શૈક્ષણિક સ્તર ઘણું ઓછું છે. વોર્ડ મુજબ ઉમેદવારોના નામ અને તેમની શૈક્ષણિક લાયકાતની વિગત નીચે મુજબ છે. ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં 12 ઉમેદવારો તો માત્ર ધોરણ 7 થી 9 સુધીનો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. અગાઉ ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાકોઈપણ શહેરનો વિકાસ તેના નેતાઓની વિઝનરી શક્તિ, સમજણ અને શિક્ષણ પર આધારિત હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં જે ચિત્ર સામે આવ્યું છે તે અત્યંત આઘાતજનક છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા 72 નગરસેવકોમાંથી અડધોઅડધ કોર્પોરેટરો મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ચોંકાવનારી વિગત તો એ છે કે ભાજપના 68 અને કોંગ્રેસના 4 મળીને કુલ 72 નગરસેવકોમાંથી 17 નગરસેવકો એવા હતા જેઓ પોતે જ લખેલા કે પૂછેલા પ્રશ્નો પણ બોર્ડમાં સ્પષ્ટપણે વાંચી શકતા નહોતા! કોંગ્રેસના 39 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 કે તેથી ઓછીરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે પાયાના કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 39 ઉમેદવારો એવા છે જેઓએ ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કર્યો છે. આ યાદીમાં સૌથી ઓછું શિક્ષણ ધરાવતા ઉમેદવાર 4 પાસ છે. વિગતવાર આંકડા જોઈએ તો 4 થી 7 પાસ હોય તેવા 3, ધોરણ 8 પાસ 10, ધોરણ 9 પાસ 12 અને ધોરણ 10 પાસ હોય તેવા 14 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 8 ઉમેદવારો ધોરણ-12 સુધી ભણેલા છે. અન્ય 22 ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં 2 ઉમેદવારો Ph.Dની પદવી ધરાવે છે. આ ઉપરાંત 9 ઉમેદવારો એડવોકેટ છે, જ્યારે બાકીના 11 ઉમેદવારો એમ.બી.એ., બી.ટેચ, અને એમ.એસ.સી. જેવી ટેકનિકલ અને વ્યાવસાયિક ડિગ્રી ધરાવે છે. શૈક્ષણિક લાયકાતમાં સૌથી નીચેના ક્રમે જોઈએ તો, વોર્ડ નં. 6 ના ઉમેદવાર દક્ષાબેન મકવાણા માત્ર 4 પાસ છે. તેવી જ રીતે મથુરભાઈ માલવી 6 પાસ અને શૈલેષભાઈ સાકરિયા 7 પાસ છે. યાદીમાં નોંધપાત્ર સંખ્યામાં એવા ઉમેદવારો છે જેઓ પાયાનું શિક્ષણ ધરાવે છે, જેમાં 7 થી 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર 12 ઉમેદવારો અને 8 પાસ હોય તેવા 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 પાસ હોય તેવા 14 ઉમેદવારો અને 12 પાસ હોય તેવા 8 ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, પક્ષે ગ્રાસરૂટ લેવલના 30 થી વધુ એવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જેઓ ઉચ્ચ ડિગ્રી ધરાવતા નથી પરંતુ જનતા સાથે સીધા જોડાયેલા છે. કોંગ્રેસે પણ 9 વકીલોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાસામે પક્ષે, કોંગ્રેસે બૌદ્ધિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા 22 જેટલા શિક્ષિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. જેમાં ડૉ. રતિલાલ મનજીભાઈ ડોબરિયા અને ડૉ. કોમલબેન પ્રકાશભાઈ પટેલ પીએચડીની સર્વોચ્ચ પદવી ધરાવે છે. કાયદાકીય સમજ ધરાવતા 9 એડવોકેટ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાધેલા અને અનિશભાઈ જોશી જેવા જાણીતા નામો સામેલ છે. આ યાદીમાં એમ.બી.એ., બી.ટેચ, એમ.એસ.સી. નર્સિંગ અને એમ.એસ.સી. કેમિસ્ટ્રિ જેવી ટેકનિકલ ડિગ્રી ધરાવતા યુવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કોંગ્રેસે અનુભવી કાર્યકરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાના નામે 17 કરોડની મિલકત, 40 કરોડની મિલકત સાથે નરેન્દ્રસિંહ ભાજપના સૌથી ધનવાન ઉમેદવારરાજકોટ માહનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોની ચિત્ર ફાઈનલ થઈ ચૂક્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામા પોતાની મિલકત, કેસ, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા સોંગદાનામાની વિગત મુજબ ભાજપ-કોંગ્રેસના 4-4 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પાસે સૌથી વધુ 40 કરોડની સંપતિ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ 17 કરોડની મિલકત દર્શાવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) રાજકોટ મનપાની 72 બેઠક પર ભાજપ સામે કોંગ્રેસના કયા ઉમેદવારની ટક્કર, ફોટો સાથેની યાદી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે. જ્યાં રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે સીમિત રહી નથી પરંતુ એક જ પરિવારની અંદર સીધી ટક્કર સર્જાઈ રહી છે. પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને કોંગ્રેસે ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી છે. જેથી હવે પેનલ જીતાડવા માટે કૌટુંબિક ભાઈ અને બહેન એક બીજાને હરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બહેન રાજશ્રી કેસરી અને ભાઈ યશ જાદવની પેનલ વચ્ચે ટક્કરકોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી એક વખત ચૂંટણી લડવા માટે ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, તેમજ પેનલ પણ ઉતારવામાં આવી છે. બીજી તરફ ભાજપે દાવ ખેલી રાજશ્રીબેનના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી સીધી ટક્કર ઊભી કરી છે. જેના કારણે ચાંદખેડાની ચૂંટણી હવે રાજકીય કરતા વધુ પારિવારિક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજશ્રી કેસરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા સાથે અનુભવની પણ કસોટી છે. પૂર્વ કોર્પોરેટર તરીકે તેમણે વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે. રાજશ્રીબેન કેસરી સાથે પેનલ પણ વિસ્તારમાં મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર યશ જાદવ નવા ચહેરા તરીકે મેદાને આવ્યા છે. યશ જાદવ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, અગાઉ તેમના પિતા ચૂંટણી લડ્યા હતા. જો કે હવે પેનલને જીતાડવા માટે બંને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એક તરફ રાજશ્રીબેન કેસરી પેનલને જીતાડવા માટે ભાઇને હરાવવાની માટેની રણનીતિ બનાવી રહ્યા છે તો બીજી તરફ યશ જાદવ ભાજપની પેનલ જીતે તે માટે બહેનને હરાવવા મેદાને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાજશ્રીબેનને ચૂંટણી જીતવા ભાજપે કરેલા કામ ગણાવવા પડે છે- યશ જાદવજો કે અત્યારથી જ પારિવારિક સંબંધ હોવાના કારણે રાજકીય ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. યશ જાદવ દ્વારા પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેન કેસરી પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે. રાજશ્રીબેન ભલે પૂર્વ કોર્પોરેટર હોય પરંતુ તેમને મતદારોને રિઝવવા માટે ભાજપે કરેલા વિકાસ જ ગણાવવા પડી રહ્યા હોવાનો યશ જાદવે દાવો કર્યો છે. તો બીજી તરફ રાજશ્રીબેન કેસરીએ પણ દાવો કર્યો છે 10 વર્ષમાં જનતા માટે અનેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે જેથી મતદારો તેમની પેનલને જ પસંદ કરશે. ભાજપના ઉમેદવાર યશ જાદવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તમામ લોકોના વિકાસની વાત કરી છે. અમે માત્ર વિકાસના કામને લઈને જ પ્રચાર કરીએ છીએ. સમાજની સેવામાં કામ કરી છીએ અને જરૂરિયાતમંદ લોકોની યોજના બનાવી રહ્યા છીએ. ચાંદખેડામાં તમામ જગ્યાએ રોડ રસ્તા બની ગયા છે. હવે જરૂરિયાત ચાંદખેડાને મોડલ બનાવવાની છે. દરેક વોર્ડમાં સરકારી શાળાઓ અને સ્માર્ટ શાળાઓ બનાવી છે. અમદાવાદમાં જ્યારે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવે ત્યારે ચાંદખેડાના કામનું લિસ્ટ સૌથી વધુ હોય તેવું કામ કરીશું. સમાજ સેવાની વાત આવે ત્યારે સંબંધની વાત આવતી નથી- યશ જાદવવધુમાં યશ જાદવે જણાવ્યું હતું કે, અમારા કૌટુંબિક બહેન રાજશ્રીબેન 10 વર્ષથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસમાંથી કૌટુંબિક બહેન ઉમેદવાર છે પરંતુ સમાજની સેવાની વાત આવે ત્યારે સંબંધની વાત આવતી નથી. રાજકારણમાં હંમેશા જનતા જ દેખાય છે કોઈ કૌટુંબિક બહેન હોતી નથી કે કોઈ ભાઈ હોતો નથી. જનતાનું કામ કેટલું બાકી છે તે જોઈને જ અમે પ્રચાર કરીએ છીએ. અત્યારે અમે સેવાનો રથ લઈને નીકળ્યા છીએ જેથી અમે ચાંદખેડાની જનતાને જોઈએ છીએ બીજું કંઈ જોતા નથી. ચાંદખેડામાં અમે કરેલા વિકાસના કામ તે લોકોને ગણાવવા પડે છે. ચૂંટણીમાં સંઘર્ષ તેમને રહેવાનો છે. ચાંદખેડામાં કામ ગણાવવા માટે પણ તેમને ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કામ ગણાવવા પડે છે જેથી સમજી શકાય છે કે સંઘર્ષ કોને થઈ રહ્યો છે. તેમજ લોકોને એ લાગણી છે કે સ્થાનિક ઉમેદવાર જ જીતવો જોઈએ. મારા માટે તે મારો ભાઈ નથી પરંતુ, ભાજપનો એક ઉમેદવાર છે- રાજશ્રી કેસરીચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, ચાંદખેડામાં મુખ્ય પાયાની જરૂરિયાત છે. જેથી રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓને લઈને ચાલી રહ્યા છીએ. ગટર ઉભરાય ત્યાં સાફ-સફાઈ કરાવવી પડે, પાણી નથી પહોંચતું તો પાણી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ગઈ વખતે પાંચ પાણીની ટાંકી બનાવી છે. ફરી 2026માં અમારા પ્રશ્નો લઈને ચાલી રહ્યા છીએ. 2010માં પણ અમે લોકો સામસામે ચૂંટણી લડ્યા હતા અને 2026માં પણ સાથે લડીશું. અમારો કોઈ કૌટુંબિક ઝઘડો નથી. યશ ભાજપ માટે લડી રહ્યો છે અમે હું કોંગ્રેસ માટે લડી રહી છું. વધુમાં રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, મારા માટે તે મારો ભાઈ નથી પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર છે, અને હું કોંગ્રેસની ઉમેદવાર છું જેથી અમે તે રીતે જ ચૂંટણી લડીશું. કોંગ્રેસ જ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવી હતી. એક એક કાગળ કરીને મેં વિગતો કાઢીને કામ કર્યા છે. જો એક એક કાગળ ન હોય તો હું પ્રચાર પાછો ખેંચી લઈશ. અર્બન હેલ્થ સેન્ટર હોય, પાણીની ટાંકી હોય, લાયબ્રેરી હોય કે બગીચા હોય તે તમામ જરૂરિયાત માટે 10 વર્ષમાં અમે જ અવાજ ઉઠાવ્યો છે. બાકી ભાજપના ઉમેદવારો માત્ર આંગળી ઊંચી કરવા માટે જ ઊભા થાય છે અને મૂંગા ચૂપ થઈને બેસી રહેતા હોય છે.
સુરત શહેરને સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં મોખરે ગણાવતા વહીવટી તંત્રના દાવાઓની પોલ વોર્ડ નંબર 9ના ઉગત સાઈટ એન્ડ સર્વિસ વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં નર્કાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં રહેતા હજારો શ્રમજીવી પરિવારો આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત તો એ છે કે, જ્યાં દેશના ભવિષ્ય સમાન નાના બાળકો શિક્ષણ લેવા જાય છે, તે આંગણવાડીની હાલત અત્યંત દયનીય છે. નંદઘર પાસે જ ખુલ્લી ગટર અને ગંદકીનું સામ્રાજયઆંગણવાડીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. આ તૂટેલા ઢાંકણામાંથી નીકળતી ગટરની અસહ્ય દુર્ગંધ અને આસપાસ ફેલાયેલી ગંદકીના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આંગણવાડીની બાજુની ગલીઓમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને ગલીઓનું ગંદું પાણી સીધું આ તૂટેલી ગટરમાં જઈ રહ્યું છે. આવી નર્ક જેવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે અને તેમનું બાળપણ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે એક મોટો સવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઊભો થયો છે. શિવમંદિર પાસે પણ ગટરના પાણી ભરાયેલા રહેમાત્ર આંગણવાડી જ નહીં, પણ આખા વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યા એટલી વિકટ છે કે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોના ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શંકરના મંદિરની સામે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પવિત્ર સ્થળોની આસપાસ પણ જ્યારે આવી ગંદકી જોવા મળે ત્યારે તંત્રની કામગીરી પર ફિટકાર વરસે તે સ્વાભાવિક છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશોની સૌથી મોટી પીડા એ છે કે અહીં ગટરનું ગંદું પાણી હવે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. લોકોના ઘરોમાં જે નળ આવે છે તેમાં ગટરની દુર્ગંધવાળું પાણી આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં મોટે ભાગે મજૂર વર્ગ રહે છે, જેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં શુદ્ધ પાણી માટે તેમને દરરોજ મોંઘા ભાવની બિસલેરી કે પાણીના કેન લાવવા મજબૂર થવું પડે છે. પોતાની રોજની મજૂરીમાંથી પાણી પાછળ આટલો મોટો આર્થિક બોજો સહન કરવો આ ગરીબ પરિવારો માટે અશક્ય બની રહ્યો છે. ટેક્સ વસૂલવામાં ઉત્સાહિત પાલિકા સમસ્યાના નિરાકરણમાં નિરસસ્થાનિક લોકોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અમે ટેક્સ કે વેરો ભરવામાં સહેજ પણ મોડું કરીએ તો તંત્રના માણસો તરત જ નળ કનેક્શન કાપવા અથવા તાળા મારવા પહોંચી જાય છે. વેરો વસૂલવામાં આટલી સક્રિયતા બતાવતું તંત્ર જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે કેમ મૂંગું મોઢું કરીને બેસી જાય છે? અત્યાર સુધી આ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની સમસ્યા સાંભળવા માટે કોઈ પણ કોર્પોરેટર ડોકાયા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ ઉદાસીનતા હવે લોકોમાં આક્રોશમાં બદલાઈ રહી છે. આ વિસ્તારનાલોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જે પક્ષ કે જે નેતા તેમનું કામ કરશે અને તેમને આ નર્ક જેવી જિંદગીમાંથી મુક્તિ અપાવશે, તેમને જ તેઓ આગામી સમયમાં પોતાનો કિંમતી મત આપશે. જો વહેલી તકે આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવે, ગટરની લાઈનો સાફ કરવામાં નહીં આવે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શક્યતા રહેલી છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યાવિસ્તારની વરવી વાસ્તવિકતા તપાસતા દિવ્યભાસ્કરના કેમેરામાં ખુલ્લેઆમ દારૂની મહેફીલ માણતા વીડિયો પણ કેદ થયા છે ત્યારે દારૂબંધીના કાયદા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જાહેરમાં જ આ વિસ્તારમાં લોકો દારૂની મહેફીલ માણતા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યોસ્થાનિક સોનમતીએ જણાવ્યું હતું કે, અમારી તો સમસ્યા એ છે કે અમારે ત્યાં ગટર ઉભરાઈ રહી છે વર્ષોથી. બે દિવસ સાફ કરે અને ત્રીજા દિવસે પાછું એવું ને એવું જ થઈ જાય. મ્યુનિસિપાલિટીવાળાને અરજીઓ કરી કરીને થાકી ગયા છીએ. અમે 10-20 લોકો સાથે મળીને જઈએ છીએ તો તેઓ કહે છે - 'બહાર નીકળો, બહાર નીકળો!' અમે શું નકામા બેઠા છીએ? તેઓ કહે છે કે તમારી આ જગ્યા વિવાદિત છે અને તમે અહીં જબરદસ્તીથી રહો છો. તો સરકારે જ મીરાનગર અને સુભાષનગરના ઝૂંપડા તોડીને અમને અહીં રહેવા માટે આપ્યું છે. સરકારે તોડ્યું ત્યારે જ અમે અહીં આવ્યા છીએ ને! હવે અહીં રોડ પર પણ પાણી ભરાય છે. હમણાં ચોમાસું આવશે તો એટલું પાણી ભરાઈ જશે કે અમારે જીવવું મુશ્કેલ થઈ જશે. ગંદકીને કારણે બાળકો બીમાર પડે છે, મારી તબિયત વારંવાર ખરાબ થઈ જાય છે. અમે જઈએ ક્યાં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે બધા મોઢું બતાવીને આવી જાય છે, પણ તેમને અમારી સમસ્યા દેખાતી નથી. કહેશે કે તમારી જગ્યા વિવાદિત છે. જો જગ્યા વિવાદિત છે તો અમારી પાસે વોટ માંગવા શું કામ આવે છે? અમે લાઈટ બિલ અને વેરો ભરીએ છીએ તો અમારી જગ્યા વિવાદિત કઈ રીતે?લાઈટ બિલ અમે ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. જો એક-બે વર્ષ ન ભરીએ તો તાળા લગાવી દે છે, ત્યારે જગ્યા વિવાદિત નથી હોતી? ત્યારે તો એ સરકારની જગ્યા થઈ જાય છે! જે ઓફિસમાં એવું બોલ્યા હતા એ જ લોકો અત્યારે મોઢું લટકાવીને આવશે. જો જગ્યા વિવાદિત છે તો તાળા કેમ મારે છે? અમે આ નાનાં બાળકોને લઈને ક્યાં જઈશું? માણસને પોતાની ફેમિલી તો હોવી જોઈએ ને? જો કોઈ એકલું હોય તો દુનિયા ટોણા મારે છે, પણ જેમને પરિવાર છે શું તેઓ આ ગંદકીમાં મરી જાય? વોટ આપવાની લઈને તેમને જણાવ્યું હતું કે, અમે તો બિલકુલ વોટ નહીં આપીએ. રોડ ખોદી નાખ્યો છે, અમે માટી નાખીને જે ઊંચું કર્યું હતું એ પણ બગાડી નાખ્યું. અત્યારે અહીં મોહલ્લામાં લોકો અંદરોઅંદર લડે છે. ભાઈ-ભાઈ લડે છે. પાડોશીઓ સાથે જેવો સંબંધ રાખવો જોઈએ એના બદલે ગાળાગાળી થાય છે. નેતાઓ તો વોટ લઈને જતા રહે છે, પણ પાડોશી જે ભાઈ કે દીકરા સમાન હોય તેની સાથે સંબંધ બગડે છે. તો કયા આધારે વોટ આપીએ? અમે બાળકો પેદા કરીએ છીએ કે તેઓ મોટા થઈને અમારો સહારો બનશે. અમે નેતાઓને પણ એટલે જ વોટ આપીએ છીએ કે મુસીબતના સમયે તેઓ અમારો સાથ આપશે. જેમ સંતાનો ઘડપણમાં નથી પૂછતા, એમ જ આ નેતાઓ પણ છે. કોઈ સાથ આપવા નથી આવતું. બસ આવીને કહેશે કે 'આ કરીશું, તે કરીશું...' અને પછી અંગૂઠો બતાવીને ચાલ્યા જાય છે. અમે શું પાગલ છીએ? અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ તો શું અમને કોઈ સમજણ નથી? શું અમારી કોઈ ઇજ્જત નથી? અમારી કોઈ કિંમત નથી? સ્થાનિક ગુડ્ડુ સાહનીએ જણાવ્યું હતું કે, ગટરનો ચાર-પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે. આવે છે લોકો કામ કરે છે અને ફરી પાછું એવું ને એવું જ થઈ જાય છે. અને પીવાનું તો એટલું વાસ મારે છે કે પૂછો જ નહીં. બે-બે, ચાર-ચાર દિવસ પછી પાણી આવે છે. ક્યારેક-ક્યારેક, પહેલા ઠીક હતું પણ અત્યારે એક-બે વર્ષથી બહુ જ પ્રોબ્લેમ છે, પાણીનો અને ગટરનો. એ તો બહુ જ વધારે તકલીફ છે. અને અમે સમસ્યા પણ લઈને જઈએ છીએ ઝોન ઓફિસમાં, તો બે માણસને મોકલે છે, પછી આવે છે અડધો કલાક કામ કરે છે અને ફરી પાછી જેવી ને તેવી જ સમસ્યા રહે છે. કોઈ નિરાકરણ આવતું નથી. જેમ કે અમે સમજો કે ગટરમાં રહેતા માણસ હોઈએ, કોઈ સાંભળતું જ નથી કંઈ કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે કોઈ નેતા પ્રચાર માટે આવશે તો અમે ત્યાં શું કે પહેલા અમારી સમસ્યાનું નિરાકરણ લાવો પછી તમને વોટ આપી છું જોકે જ્યારે ચૂંટણી આવે ત્યારે તે લોકો કહે છે કે અમે તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવીશું પરંતુ પછી કોઈ આવતું નથી.
અમદાવાદના દર્શન સોલંકી આત્મહત્યા કેસમાં ક્લાસમેટ સામે કેસ ચાલશે
દર્શને આઈઆઈટી હોસ્ટેલના ૭મા માળેથી ઝંપલાવ્યું હતું દર્શને લખેલી ચિઠ્ઠીના આધારે અરમાન ખત્રી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ ચલાવાશે મુંબઈ - મૂળ અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટી પવઈમાં ભણતા વિદ્યાર્થી દર્શન સોલંકીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ તેના ક્લાસમેટ અરમાન ખત્રી સામે કેસ ચલાવાશે. અદાલતે અરમાન પર આત્મહત્યા માટ દુષ્પ્રેરણા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપો ઘડયા છે. આઈઆઈટીમાં બી ટેક કેમિકલના પહેલાં વર્ષમાં ભણતા અમદાવાદના મણિનગરના રહેવાસી દર્શને ૨૦૨૩ની ૧૨મી ફેબુ્રઆરીએ આઈઆઈટી પવઈ ખાતેની હોસ્ટેલના સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી.
સીબીએસઈ ધો. 10માં બીએમસીની શાળાઓનો ડંકો- 92.89 ટકા પરિણામ
મુલુંડ, ઘાટકોપર સહિત ચાર શાળાનું ૧૦૦ ટકા પરિણામ મહાપાલિકા શાળાઓમાં ૯૭.૮ ટકા સાથે મુલુન્ડની મીઠાગર શાળાનો વિદ્યાર્થી પ્રથમ ઃ અનેક વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધુ મુંબઇ - બીએમસી સંચાલિત સીબીએસઈ શાળાઓના પ્રથમ બેચે ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કુલ ૯૨.૮૯ ટકા પાસિંગ રિઝલ્ટ સાથે આ પરિણામે મ્યુનિસિપલ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.
પાણી નહીં તો વોટ નહીં:રાધનપુરના નજુપુરામાં સિંચાઈના પાણી પ્રશ્ને મતદાન નહીં કરવા નિર્ણય
રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો પ્રચારને બદલે બહિષ્કારમાં ફેરવાયો છે. છેલ્લા એક દાયકાથી સિંચાઈના પાણી માટે વલખાં મારતા ગ્રામજનોએ આક્રોશ સાથે પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવ્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ અંગે કોઈ ઉકેલ ન આવતા બુધવારે રાત્રે ગામ સભા કરી આગામી 26 એપ્રિલે સમસ્ત ગામ દ્વારા મતદાનનો સામુહિક ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. તંત્ર અને નેતાઓની ખાલી બાંહેધરીઓને માન્ય ના રાખતા હવે રાજકીય પક્ષો સાથે નર્મદા વિભાગ પણ દોડતું થયું છે. નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ સિંચાઈની પાઇપ લાઇન નાખવામાં આવી હતી. આ યોજનાથી ખેડૂતોમાં આશા જન્મી હતી કે તેમની 700 વીઘાથી વધુ જમીન લીલીછમ થશે, પરંતુ હકીકત કંઈક અલગ જ રહી કેનાલમાં શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ છે, જેને પરિણામે ખેતરો સૂકા ભઠ્ઠ પડ્યા છે અને અનેક ખેડૂતો હિજરત કરવા મજબૂર બન્યા છે. રજૂઆતો છતાં નર્મદા વિભાગના બહેરા કાને અથડાઈને અરજી પાછી આવે છે. તાજેતરમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત લઈ ખાતરી આપી હતી.પરંતુ કોઈ નક્કર નિરાકરણ ના આવતા બુધવારે ગ્રામજનો રાત્રે એકત્ર થઈ સભા કરી ચર્ચા બાદ જ્યાં સુધી ગામમાં પાણી ના મળે ત્યાં સુધી ચૂંટણીમાં એક પણ મત ન આપવાનો નિર્ણય લઈ ગામના લોકોએ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. નેતાઓ ખાતરી પણ કામ થતું નથી : લોકોવિપુલ દેસાઈએ જણાવ્યું હતું કેઅમે છેલ્લા 10 વર્ષથી નર્મદા વિભાગ અને નેતાઓના ઉંબરા ઘસી નાખ્યા છે.પાઈપલાઈન હોવા છતાં અમારી જમીન સૂકી છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખાતરી આપી જાય છે, પણ કામ થતું નથી. આ વખતે અમે નક્કી કર્યું છે કે જો ખેતરમાં પાણી નહીં પહોંચે, તો અમે મતદાન મથકની સીડી પણ નહીં ચઢીએ. પાણી વિના ખેતી ભાગી પડતાં મુશકેલી વધીમહિલા એ જણાવ્યું હતું કે પાણી વિના ખેતી ભાંગી પડી છે, ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. ખેતીમાં ઉપજ ન હોવાથી મોંઘવારીમાં ગુજરાન કેમ કરવું? અનેક પરિવારો ઇજરત કરીને ઘર છોડીને જતા રહ્યા છે.સરકાર અને અધિકારીઓ પીડા નથી સમજતા, એટલે નક્કી કર્યું છે કે આ વખતે એક પણ વોટ આપવો નથી. અમારા માટે પાણીની પાયાની સુવિધા પહેલા, પછી જ ચૂંટણી અને મતદાન છે.
પોલીસની સરાહનીય કામગીરી:ખાનગી ગાડીમાં ભુલાઈ ગયેલી બેગ પોલીસે યુવકને પરત અપાવી
અમદાવાદથી મહેસાણાની મોઢેરા ચોકડી ઉપર ગાડીમાંથી ઉતર્યા બાદ ભુલાઈ ગયેલ ઉનાવાના યુવકની બેગને મહેસાણા પોલીસના કમાન્ડ કંટ્રોલરૂમની ટીમેં સીસીટીવી ફૂટેજની મદદથી શોધીને પરત અપાવી હતી. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતો ચંદ્રકાંત નટવરલાલ સેનમા નામનો યુવક અમદાવાદના ચાંદખેડાથી ઉનાવા ઘરે પરત આવવા માટે ગુરુવારના રોજ એક પેસેન્જર ગાડીમાં બેઠો હતો બપોરે 2:00 વાગ્યાની આસપાસ મહેસાણાની મોઢેરા ચોકડી પર તે ગાડીમાંથી ઉતર્યા બાદ પોતાની પત્નીની બે સાડીઓ, સોનાની ચુની અને સામાન ભરેલી બેગ તે ગાડીમાં જ ભૂલી ગયો હતો. પોતાની બેગ ખોવાઈ જતા તેણે મહેસાણા પોલીસની નેત્રમ શાખાનો સંપર્ક કરતા શહેરના પોલીસના તમામ સીસીટીવી જ્યાંથી કંટ્રોલ થાય છે તે કમાન્ડ કંટ્રોલરૂમના પી.એસ.આઇ સુથાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી મહેસાણા આવવા માટે ચંદ્રકાંત જે ગાડીમાં બેઠો હતો. તેને શોધી કાઢી હતી અને જી.જે. 35 એચ 2762 નંબરની અરટીકા કારના માલિકનું સરનામું અને નંબર શોધી પોલીસની ટીમે તેનો સંપર્ક કરતા ગાડીમાં જ બેગ હોવાની ખબર પડી હતી
ઉગ્ર વિરોધ:મનપાના વિકાસ નકશા સામે ફતેપુરા ગ્રામજનોમાં ઉગ્ર વિરોધ
મહેસાણા મહાનગરપાલિકાનો પ્રાથમિક વિકાસ નક્શો જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ફતેપુરા ગામના ખેડૂતોમાં મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ગ્રામજનોએ એકજૂટ થઈ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીએ વાંધા રજૂ કર્યા હતા. ફતેપુરા ગામના અલ્પેશભાઈ પટેલ સહિતના ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તેમની જમીન પાલોદર ગામના રેકોર્ડમાં દાખલ છે. ફતેપુરા અને પાલોદરના સર્વે નંબરો મનપા વિસ્તારમાં સામેલ થતા વિકાસ નકશામાં 24 થી 30 મીટરના મોટા રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દર્શાવવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. અંદાજે 40 ટકા જમીન કપાતમાં જતી રહે તેવી શક્યતા છે, જેના કારણે ખેતીલાયક જમીન ઘટી જશે અને જીવનનિર્વાહ પર અસર પડશે.
ભાસ્કર એક્સક્લુસિવ:મનપા ચૂંટણીમાં ધો. 4થી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો મેદાનમાં
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 47 બેઠકો માટે ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીઓ અને વિસ્તારોમાં ફરીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 122 ઉમેદવારોએ દાખલ કરેલા સોગંદનામા અનુસાર, સૌથી ઓછું ધોરણ 4 સુધીનું શિક્ષણ ધરાવતા ઉમેદવારથી લઈને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) સુધીનું ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉચ્ચ શિક્ષણ ધરાવતા 14 ઉમેદવારોમાં એમ.એ., એમ.કોમ., ઇજનેરી અને એમ.બી.એ. જેવા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે, તેમાં 4 ઉમેદવારોએ બી.એડ. અને 3 ઉમેદવારોએ એલ.એલ.બી. (એડવોકેટ)નું શિક્ષણ મેળવ્યું છે. આમાં ભાજપના 8, કોંગ્રેસના 4 અને આપના 2 ઉમેદવાર છે. બીજી તરફ, ભાજપના બે ઉમેદવારો ધોરણ 10 નાપાસ છે, જ્યારે એક મહિલા ઉમેદવારએ પોતાના સોગંદનામામાં પોતે અભણ હોવાનું દર્શાવ્યું છે. ત્રણેક ઉમેદવારના સોગંદનામામાં સ્પષ્ટ શિક્ષણ લાયકાત જોવા મળતી નથી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 29 ઉમેદવારો ધોરણ 10 પાસ છે. ત્યારબાદ 25 ઉમેદવારો સ્નાતક (બી.એ., બી.કોમ., બી.એસસી., બી.સી.એ.) છે, જેમાં 3 અંડરગ્રેજ્યુએટનો પણ સમાવેશ થાય છે. કુલ 5 ઉમેદવારો ITI અથવા ડિપ્લોમા પાસ છે. તેમાં કોંગ્રેસના મીનાબેન ચૌધરીએ કોસ્ચ્યુમ ડિઝાઇન અને ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભાજપના ભવાનીસિંહ પ્રિન્સે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે. વોર્ડ નં. 3, 11 અને 12માં એક-એક એલ.એલ.બી. થયેલા ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે. 40 વર્ષથી ઓછી વયના 46 યુવા ઉમેદવારોમેદાનમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. વિવિધ પક્ષોમાંથી કુલ 46 ઉમેદવારો 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જે કોર્પોરેશનના આગામી 5 વર્ષના શાસન માટે મેદાનમાં ઉતર્યા છે. સૌથી નાની ઉંમરના ઉમેદવાર 22 વર્ષના ચિરાગસિંહ ઝાલા છે, જ્યારે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 67 વર્ષના શાન્તાબેન મકવાણા છે.
નગરપાલિકાથી લઇ જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના 4 ઉમેદવારો ચર્ચામાં છે. એક તરફ અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠક પરથી કરોડોની મિલકત અને હથિયારો ધરાવતા કાયદાના સ્નાતક નસીબ અજમાવી રહ્યા છે, તો બીજી તરફ બહુચરાજીમાં જેમના નામે એક મકાન પણ નથી અને માત્ર 2 ધોરણ ભણેલા છે તેવા સામાન્ય ઉમેદવારો પણ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છે. 1. રમેશચંદ્ર પોપટલાલ ભીલ (મહેસાણા કમલમ કાર્યાલયના સેવક) 2. સુથાર નેહાબેન પ્રવીણભાઈ (સિંગર અને ઇન્ફ્લુએન્સર) 3. કાગસિયા સન્સીબેન લક્ષ્મણભાઈ (બહુચરાજીમાં બંગડીની દુકાન) 4. નિનામા મનોજકુમાર લલ્લુભાઈ (પૂર્વ આઇપીએસ, અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક)
RTE પ્રવેશ:RTEની 4095 અરજીમાંથી 2575 મંજૂર, 696 કેન્સલ અને 427 પેન્ડિંગ
ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટે મફત શિક્ષણના કાયદા હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ગુરુવારે બપોર સુધીમાં 4095 ઓનલાઈન અરજીઓ થઈ હતી. તેમાં ચકાસણી બાદ 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે પૂરતા દસ્તાવેજોના અભાવે અથવા અપૂરતી માહિતીના કારણે 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. ડુપ્લિકેટ 696 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હજુ 427 અરજીઓ ચકાસણી હેઠળ પેન્ડિંગ છે. આજે ઓનલાઈન અરજીનો અંતિમ દિવસ હોવાથી અરજીઓમાં વધારો થવાની શક્યતા છે. સ્તાવેજોની ચકાસણીમાં કેટલાક વાલીઓએ હાલના રહેઠાણના બદલે અન્ય સ્થળનો ભાડા કરાર દર્શાવ્યો હતો, આવકનો દાખલો અન્ય સ્થળનો હતો અથવા આવક મર્યાદાથી વધુ હતી, તેમજ પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાના કારણે અરજીઓ ચકાસણી બાદ રિજેક્ટ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ઓનલાઈન ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે. ગુરુવાર બપોર સુધી પોર્ટલમાં 4095 ઓનલાઈન અરજીઓ નોંધાઈ હતી. નિયુક્ત ચકાસણી ટીમ દ્વારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ ચાલુ છે. જેમાં તમામ માહિતી અને દસ્તાવેજો યોગ્ય જણાય તેવી 2575 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. એક વખત અરજી નામંજૂર થયા બાદ કેટલીક વાર ફરીથી અરજી કરવામાં આવે છે, જેના કારણે આવી ખામીવાળી અરજીઓ ડુપ્લિકેટ ગણાઈને કેન્સલ કરવામાં આવે છે. આવી 696 અરજીઓ કેન્સલ થઈ છે. જ્યારે પૂરતા દસ્તાવેજો ન હોવા અથવા ખામી હોવા જેવી સ્થિતિમાં 397 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. રોજના 20 સ્લોટ વધતા ભાડા કરારની પ્રક્રિયા સરળમાલિકીનું મકાન ન ધરાવતા વાલીઓને બાળકના ધોરણ-1 પ્રવેશ માટે રજિસ્ટર્ડ ભાડા કરાર રજૂ કરવો જરૂરી છે. સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ સવારના 74 અને બપોર પછીના 32 સ્લોટ હાઉસફુલ રહેતા હોવાથી વાલીઓને મુશ્કેલી પડી રહી હતી. આ મુદ્દે અહેવાલ પ્રકાશિત થયા બાદ છેલ્લા ચાર દિવસથી દરરોજ સવારે 74 અને બપોર પછી 52 સ્લોટ કરાયા છે એટલે 20 સ્લોટનો વધારો કરાયો છે, જેના કારણે વંચિત વાલીઓએ એપોઇન્ટમેન્ટ મેળવી ભાડા કરાર કરાવ્યા છે. સબ-રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, આશરે 20 જેટલા ભાડા કરારો નોંધાયા છે.
ભુજ વોર્ડ નંબર - 11:બગીચા પુનર્જીવિત કરવા સિવાય ‘ઓલ વેલ’
ભુજનો વોર્ડ નંબર 11ને શહેરનો સૌથી વિશાળ વિસ્તાર છે, જેમાં નાની-મોટી મળી કુલ 68 જેટલી કોલોનીઓનો સમાવેશ થાય છે. વિસ્તારના વિકાસના દાવાઓ વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓ હજુ અધૂરી કે બિનઉપયોગી હાલતમાં હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે. ખાસ કરીને પ્રમુખસ્વામી નગરનો તોરલ ગાર્ડન, બાયો ડાયવર્સિટી પાર્ક અને પુનિત વન જેવી જગ્યાઓ યોગ્ય રીતે વિકસિત થઈ અને જાળવણી સાથે જીવંત બને તો આસપાસના હજારો નાગરિકોને તેનો સીધો લાભ મળી શકે છે. આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેના કારણે ચૂંટણીનું કોઈ ખાસ વાતાવરણ જોવા મળ્યું નથી. પૂર્વ નગર સેવિકા બિંદીયા ઠક્કરે જણાવ્યું હતું કે ચંગલેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલો અંડરગ્રાઉન્ડ ટાંકો શરૂ થતા પાણી વિતરણમાં સુધારો થયો છે. ઉપરાંત, સફાઈ વ્યવસ્થા સંતોષકારક રીતે ચાલે છે અને માર્ગો તેમજ ડ્રેનેજના કેટલાક કામો પણ પૂર્ણ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુડીએપી, જનભાગીદારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 9.12 કરોડ રૂપિયાના બાંધકામના કામો થયા છે. હરીપર, આઇયા નગર, વ્હોરા કોલોની અને શિવકૃપા નગર જેવા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે. જોકે, ચંગલેશ્વર સામે આવેલા ઓવર હેડ ટેન્કનું કામ સીમા સુરક્ષા દળની મંજૂરીના અભાવે અટવાઈ ગયું છે. બીજી તરફ, સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતાં અનેક સમસ્યાઓ પણ સામે આવી છે. ખાસ કરીને સ્ટ્રીટ લાઈટોમાંથી 70 ટકા કરતાં વધુ લાઈટો બંધ હાલતમાં હોવાનું લોકોનો આક્ષેપ છે. માર્ગોના નવીનીકરણ દરમિયાન ફૂટપાથ તોડી નાખવામાં આવ્યા હોવાના કારણે ચાલતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સાથે જ, કરવામાં આવેલા કામોની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે અને ચોમાસામાં આ કામોની હકીકત બહાર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ, વોર્ડ નંબર 11માં વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ કેટલીક અધૂરી કામગીરી અને સમસ્યાઓ યથાવત રહેતાં નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિસ્તારમુન્દ્રા રિલોકેશન સાઈટ, સન બંગ્લોઝ, ચંગલેશ્વર સોસાયટી, આઈયા નગર, નીલકંઠ નગર, લાયન્સ નગર, જિલ્લા પંચાયત ક્વાર્ટર, સરદાર પટેલ નગર, હરીપર, કોવઇ નગર, નૂર કોલોની, અરિહંત નગર, સિલ્વર પાર્ક, પ્રમુખ સ્વામી નગર મતદારોની સંખ્યા
સંસ્કારનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા દ્વારા આશરે 8 કરોડના ખર્ચે ત્રિમંદિરથી કોમર્સ કોલેજ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ચાર મહિના પહેલાં ત્રિમંદિર પાસે શરૂ કરાયેલું આ કામ સીમંધર સિટી વિસ્તારમાં આવીને અટકી ગયું છે, કારણ કે ત્યાં વીજ થાંભલા ખસેડવાની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી બંધ પડી છે. બીજી તરફ, શહેરમાં માર્ગ વિસ્તરણના કામની ગતિમાં વિલંબથી થોડા સમય પહેલા ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કામને ઝડપ આપવા સૂચના આપવામાં આવી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોમર્સ કોલેજથી રઘુવંશી સર્કલ સુધી સીસી રોડ બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જ માર્ગ પર નગરપાલિકાની ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકી છે. નગરપાલિકાના સંલગ્ન ઇજનેર દ્વારા માર્ગ અને મકાન વિભાગ સાથે સંપર્ક સાધી રોડના ખોદકામને અત્યારે અટકાવી પાઈપલાઈન નાખવાની કામગીરી પહેલા પૂર્ણ કરવાની જરૂરિયાત નું જણાવતા, હાલ રોડનું કામ બંધ કર્યું છે. આગામી બે થી અઢી મહિના સુધી અહીં પાઈપ પાથરવાનું કામ ચાલુ રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ બતાવે છે. વાસ્તવમાં માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને જાણ હોવી જોઈએ કે ભુજમાં જે કામ થઈ રહ્યા છે તે ક્યાં અને કેમ થઈ રહ્યા છે. અનેકવાર એવું બન્યું છે કે રોડ બનાવ્યા પછી ખોદવા પડ્યા છે. ફરીથી એવું જ આ કિસ્સામાં પણ બનવાની શક્યતા હતી. નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે ભુજના રીંગરોડના વિસ્તૃતિકરણ સંદર્ભે આંતરિક અસંતોષ દેખાઈ આવે છે.
રાજકોટ ખાતે ચાલી રહેલી જય હિંદ ટ્રોફી ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લા ક્રિકેટ ટીમે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને યથાવત રાખતા વધુ એક ભવ્ય વિજય નોંધાવ્યો છે. જુનાગઢ જિલ્લા ટીમ સામે રમાયેલી મેચમાં જામનગરની ટીમે વિજય મેળવીને સેમિફાઈનલમાં પહોંચી છે. ખંઢેરીના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં જામનગરની ટીમે પ્રથમ ઈનિંગમા 196 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેમાં મિહીર જોશીએ 51 રનની અડધી સદી ફટકારી, વિશ્વરાજ જાડેજાએ 34 અને રોહન મથ્થરે 25 રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બીજી ઇનિંગમા વિશ્વરાજ જાડેજા 143 રન ફટકાર્યા હતા, અને પુષ્કર કુમારે 66 રન કરી મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં જુનાગઢની ટીમ જામનગરના બોલરો સામે ટકી શકી નહોતી અને 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ ઈનિંગમા જામનગર તરફથી બોલિંગમાં વિશ્વરાજ જાડેજાએ 17 ઓવરમાં 3 મેડન સાથે 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અને બીજી ઇનિંગમાં જય રાવલિયાએ પણ શાનદાર પ્રદર્શન કરી 9 ઓવરમાં 35 રન આપી 5 વિકેટ ઝૂંટવી, જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ જીત સાથે જામનગરની ટીમે ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પોતાની જગ્યા મજબૂત બનાવી છે. હવે આગામી મુકાબલો 20 મેના રોજ ભાવનગર જિલ્લા ટીમ સામે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ટીમ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. વર્ષોથી ખેલાડીઓ કોચ મહેન્દ્રસર ચૌહાણ પાસેથી તાલીમ મેળવી રહ્યા છે,
બેદરકારી:જી.જી.હોસ્પિટલમાં ટેકનિકલ ખામીથી એક્સ-રે મશીન ત્રણ દિ’થી બંધ, દર્દીઓને ભારે હાલાકી
જામનગર શહેરની જી.જી.હોસ્પિટલ ફરી એક વખત અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૈનિક હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યારે આવી ખામી આરોગ્ય સેવાઓ પર સીધી અસર કરે છે. જી.જી.હોસ્પિટલમાં રોજના 3 થી 4 હજાર જેટલા દર્દીઓ માટેની ઓપીડી હોય છે. જેમાંથી આશરે 1000 થી 1200 જેટલા દર્દીઓને એક્સ-રેની જરૂર પડી રહી છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલના 11 નંબર રૂમમાં આવેલ એક્સ-રે મશીન અચાનક બંધ થઈ જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હોસ્પિટલની એસબીઆઈ એટીએમથી આગળ નવી સોનોગ્રાફીની સામે 2 નંબરમાં ઉભી કરવામાં આવી છે. ત્યાં ત્રણ જેટલા એક્સ-રે મશીનો હોવાનું ટેકનિશિયનો જણાવે છે, તેમ છતાં દર્દીઓની ભીડ વધુ રહેતી હોવાથી કલાકો સુધી દર્દીઓને એક્સ-રે માટે રાહ જોવી પડે છે. તેમાં પણ ઇમરજન્સી દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. આ હાલતમાં ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બની રહ્યા છે, જેના કારણે તેઓને વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે. જેથી આ સમસ્યા વહેલી તકે ઉકેલાય તેવી દર્દીઓની લાગણી છે. બે દિવસમાં એક્સ-રે મશીન રીપેર થઈ જશે... જી.જી.હોસ્પિટલના 11 નંબરના એક્સ-રે મશીનમાં ખામી સર્જાતા દર્દીઓને હાલાકી ગઈ છે, પરંતુ તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા 2 નંબરમાં કરવામાં આવી છે. હાલ આ ખરાબ થયેલ મશીન રીપેરીંગ માટે કંપનીના કારીગરો આવ્યા હતા. બે દિવસમાં એક્સ-રે મશીન ફરી શરૂ થઈ જશે. - ટેકનીશિયન
સારવાર:જામનગરમાં 108ની ટીમ બની દેવદૂત, માતા-પુત્રના જીવ બચાવ્યા
જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર આવેલા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય શોભનાબેન ડાભીને અચાનક પ્રસુતિની પીડા શરૂ થતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને કોલ કર્યો હતો. કોલ મળતા જ જામનગર સમર્પણ ચોકડી ખાતે ડ્યુટી પર હાજર EMT દિપ્તિ મારું અને પાયલોટ વજસી જોગલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે મહિલાની પીડા ખૂબ જ વધી ગઈ હોવાથી હોસ્પિટલ સુધી પહોંચાડવા સમય નહોતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો. ટીમના સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને બાળકનો જન્મ કરાવ્યો હતો. બાદમાં માતા-પુત્રને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ બંને સ્વસ્થ હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાએ 108 ટીમની કાર્યક્ષમતા અને માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે. પરિવારજનોએ 108 ટીમ દેવદૂત સમાન બની હતી.
વાતાવરણ:શહેરમાં ગરમીનો પારો નીચે સરકીને 34.5 ડિગ્રી નોંધાયો
જામનગર હવામાનમાં ફેરફાર નોંધાયો છે અને ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે 34.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ડીગ્રીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાનમાં અચાનક આવેલા ફેરફારના કારણે ગત મંગળવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી મૌસમનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. જે બાદ સડસડાટ બીજા દિવસે બે ડિગ્રીનો ઘટાડો અને ત્રીજા દિવસે દોઢ ડિગ્રીના ઘટાડા સાથે ત્રણ દિવસમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સવાર ચોવીસ કલાક પુરા થતાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિ કલાકના 15 થી 20 કી.મી.ની ઝડપે ફુંકાયો છે. ગરમીના પારામાં થયેલા ઘટાડાથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે. તો બીજી બાજુ ભારે પવનના કારણે બપોરના સમયે ગરમ પવન ફુંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં થોડી ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ હાલ ગરમીનો પારો નીચે સરકરતા લોકોને ગરમીમાં રાહત મળી છે. સપ્તાહના પ્રારંભે ચાલુ સિઝનમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાતા મહત્તમ પારો 38.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે બાદ ત્રણ દિવસથી તાપમાન ઘટ્યું છે.
હુકમ:કાલાવડ નાકા બહાર રીવર બ્રીજ પર તમામ વાહનો આજથી બંધ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર હયાત રીવર બ્રીજને ડીમોલેશન કરી નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીર અંતર્ગત હયાત બ્રીજ ડિમોલીશન તથા નવો ફોર લેન રીવર બ્રીજ બનાવવાની કામગીરી અનુસંધાને રંગમતી નદી પરનો હયાત રસ્તો સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી આગામી તા.17 એપ્રિલથી તા.15 ઓકટોમ્બર સુધી દરમિયાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુ.કમિશનર ડી.એન.મોદીએ હુકમ કર્યો છે. હુકમનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ.કમિશનરે બહાર પાડેલી નોટીસમાં ટુ-વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રંગમતી નદી ઉપરનો હયાત રીવર બ્રીજ પરનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે રંગમત નદીમાં બનાવવમાં આવેલ સર્વિસ રોડ ખુલ્લો રહેશે. સર્વિસ રોડથી કલ્યાણ ચોક થઈ ટુ-વ્હીલર્સ તથા તમામ પ્રકારના નાના વાહનોની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ચાલુ રહેશે. જ્યારે ભારે વાહન માટે જામનગર કાલાવડ રોડની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નાગનાથ જંકશનથી સુભાષ બ્રીજ થઈ અન્નપુર્ણા મંદિર થઈ મહાપ્રભુજી બેઠક રોડ થઈ ઠેબા બાયપાસ જંકશન તરફ ચાલુ રહેશે. તેમજ મોરકંડા-જામનગર રોડની વૈકલ્પિક ટ્રાનસપોર્ટ વ્યવસ્થા મોરકંડાથી ચોકડીથી ઉપર મૂજબના રૂપ પ્રમાણે ચાલુ રહેશે.

31 C