SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા બાળકોનું રેકેટ:દલાલો રાજસ્થાનથી માસૂમોને લઈ આવ્યા, રેટ મુજબ પરિવારને પૈસા ચૂકવતા, SG હાઈવેના રૂ.150, સીજી રોડના 100 આપતા

સાહેબ ભૂખ લાગી છે પૈસા આપોને... આવું તમને અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ પર બાળકોના મુખેથી સાંભળવા મળે. બાળકો એટલા બધા કરગરે કે, આપણે દયા ખાઈને બાળકોને પાંચ કે દસ રૂપિયા આપી દઈએ. પણ આ બાળકો ક્યાંના છે, શું કામ ભીખ માગે છે એ સવાલ આપણા મનમાં ક્યારેય આવ્યો જ નથી. પણ ચોંકાવનારી વાત એ છે કે, દલાલો ભીખ મગાવવા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવે છે. તેમાંય વિસ્તાર મુજબ રોજે રોજ બાળકો પાસે ભીખ મગાવડાવી સાંજે નક્કી થયેલા રેટ મુજબ રૂપિયા બાળકોના પરિવારને ચૂકવી દેવામાં આવે છે. દરેક વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું રેટકાર્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. પોશ વિસ્તાર એસજી હાઈવે હોય તો 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા એમ રેટ નક્કી કરેલા છે. આ આખા રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ થયો છે. જેમાં 15 બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયા હોવાથી 9 ફરિયાદ થઈ છે. આ તમામ 15 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાળકીઓ પણ છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્યુ થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું શરૂ કર્યું છે. અન્ય રાજ્યમાંથી બાળકો આખા પરિવાર અથવા માતા અને તેના બાળકને ગુજરાતના ટ્રાફિક સિગ્નલ પર લાવીને ભીખ મગાવવાની આખી સિસ્ટમ સામે આવી છે. દલાલો રાજસ્થાનના નાનકડા ગામોમાં જઈને ગરીબ પરિવારોને અમદાવાદ લઈ આવે છે અને પોશ વિસ્તારના ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવડાવે છે. આ આખું રેકેટ કઈ રીતે ચાલે છે એ વાંચીને તમારા હૃદયના ધબકારા પણ થંભી જશે. ભીખ માગનારાઓનો રેટ નક્કી થયો છેશહેરનો એસજી હાઇવે હોય તો 150 રૂપિયા અને સીજી રોડ હોય તો 100 રૂપિયા તેમ સિગ્નલ પર ભીખ માગનારાઓનો રેટ નક્કી થયો છે. આ હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક દિવસમાં 9 ફરિયાદ કરી છે અને 15 બાળકોને રેસ્ક્યૂ કર્યા છે. જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમનું મેડિકલ ચાલી રહ્યું છે. ભીખ માગવાના રેકેટના રેટ કાર્ડ પણ પોલીસને મળ્યા અમદાવાદ શહેરમાં ટ્રાફિક જંક્શન પર અલગ અલગ જગ્યાએ ભીખ માગવાનો આખો કારોબાર ચાલતો હોય તો તે હવે સ્પષ્ટ થઈ ગયું છે અને આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા છે. એક સિગ્નલ પર 150 રૂપિયા ત્યારે બીજા સિગ્નલ પર તેનાથી ઓછા અને આખા ભીખ માગવાના રેકેટના રેટ કાર્ડ પણ હવે પોલીસ પાસે આવ્યા છે. આ રેકેટમાં છેલ્લા કેટલાક દિવસથી સામેલ બાળકોને બચાવવાનું કામ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. અત્યારસુધીમાં કુલ 33 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યાઅત્યારસુધીમાં કુલ 33 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જે અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે જે વિગત આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કારણ કે રેસ્ક્યૂ કરાયેલા બાળકોની સંખ્યા 15 છે અને તેમને રીતસર એજન્ટો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે. 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને લવાય છેઆ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ 9 ફરિયાદ નોંધાવી છે. જેમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત સામે આવી છે અને આ સમગ્ર મામલો અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંક્શનથી શરૂઆત થઈને રાજસ્થાનના નાના ગામડાઓ જેમાં ડુંગરપુર અને અંતરિયાળ ગામો સુધી પહોંચે છે. જ્યાંથી એજન્ટો આ બાળકો જે 15 વર્ષથી નીચેના છે તેમને ત્યારબાદ માતા અને તેના નવજાત શિશુ અને તેની સાથે આખા પરિવારને ભીખ માગવા માટે રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. રેકેટની અંદર 15થી 16 વર્ષની બાળકીઓ પણઆ બધાની વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલનું એક રેટ લિસ્ટ છે જે પ્રમાણે એજન્ટો પૈસા વસૂલે છે તેમાં પણ ખાસ કરીને દરેકને ટાર્ગેટ હોય છે અને તે પ્રમાણે જો વસૂલાત ના થાય તો તેમને પરત મોકલી દેવામાં આવે છે. તેમાંય પણ ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ભીખ માગવાના રેકેટની અંદર 15થી 16 વર્ષની બાળકીઓ પણ છે. જેમની સાથે કોઈ શોષણ થયું હોય એવી શંકાના આધારે બાળકીઓનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. 15 બાળકોને હાલ રેસ્ક્યૂ કરવામાં આવ્યા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવવા માટે આખું રેકેટ ચાલતું હતું. એજન્ટો મારફતે બાળકો અહીંયા લાવવામાં આવતા હતા અને ભીખ માગવા માટે કોને કેટલા પૈસા મળશે તેનું રેટ લિસ્ટ પણ આ લોકોએ નક્કી કર્યું હતું. આ સમગ્ર રેકેટ સામે આવતા ટ્રાફિકની આખી વાત સામે આવી છે અને આ સંદર્ભે 15 બાળકોને હાલ રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Jul 2024 9:30 am

રાજ્યમાં સિઝનનો એવરેજ 54.46 ટકા વરસાદ:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ, ડોલવણમાં સૌથી વધુ 7 ઈંચ ખાબક્યો

રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. ત્યારે હાલ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાક ભારે તો ક્યાક સામાન્ય વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ 54.46 ટકા વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

દિવ્ય ભાસ્કર 26 Jul 2024 8:51 am

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદની રમઝટ:20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ, ચાલકોએ હેડ લાઈટ સાથે વાહન ચલાવવાનો વારો આવ્યો

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે સાંજે ચાર વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં નરોડા અને પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાણીપ, ન્યુ રાણીપ, કઠવાડા, નિકોલ, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કોતરપુર, સરદાર નગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઢીંચણ સુધી પાણી ભરાતા લોકોએ તે રસ્તે જવાનું ટાળ્યુંશહેરના પૂર્વ વિસ્તાર એવા અસારવા, શાહીબાગ, ગિરધર નગર, સુભાષ બ્રિજ, બાપુનગર, ઠક્કર નગર સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો જ્યારે સોલા, ઘાટલોડિયા, મેમનગર, ગુરુકુળ, વસ્ત્રાપુર, ગુજરાત હાઇકોર્ટ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરબ્રિજ પાસે રાણીશક્તિ મંદિરની બહાર પાણી ભરાતા લોકોના વાહન બંધ પાડયા, લોકોના ઢીંચણ સુધી પાણી ભરાતા લોકોએ તે રસ્તે જવાનું ટાળ્યું. વાહનચાલકોએ હેડલાઈટ સાથે વાહન ચલાવવા પડ્યાહવામાન વિભાગની આગાહી બાદ સાંજ પડતાં જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થતાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. બીસીબીલીટી ઘટી જતા વાહનોમાં હેડલાઈટ શરૂ કરવાની ફરજ પડી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતા તેની સીધી અસર ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં પણ થતી હોય છે ત્યારે એરપોર્ટ સહિતના વિસ્તારોમાં સાંજના સમયે જ્યારે સૌથી વધુ ફ્લાઈટ ઓપરેશન થતું હોય છે. તે સમયે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી છે. ગઈકાલે પશ્ચિમ અમદાવાદની સરખામણીએ પૂર્વમાં વધુ વરસાદ પડ્યોલો પ્રેશરની સાથે સાઈક્લોનિક સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચવાના કારણે શહેરમાં સવારેથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગઈકાલે સાંજના 8 વાગ્યાની આસપાસ પવન ફૂંકાવવા સાથે સારો વરસાદ પડ્યો હતો. પશ્ચિમ અમદાવાદની સરખામણીએ કરતાં આ વખતે પૂર્વ અમદાવાદમાં વધુ વરસાદ પડ્યો હતો. એમાં ખાસ કરીને મણિનગરમાં સૌથી વધુ 2.30 ઈંચ વરસાદ પડ્યો હતો. ચકુડિયા, રામોલ, ઓઢવમાં દોઢ ઈંચ જ્યારે વિરાટનગર, વટવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે પૂર્વના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. 10 દિવસ પછી સમગ્ર શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ નોંધાયોગઈકાલે પશ્ચિમ અમદાવાદમાં એલિસબ્રિજમાં સૌથી વધુ વરસાદ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. 10 દિવસ પછી સમગ્ર શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. 132 ફૂટ રિંગ રોડ પરની મોહનકુંજથી નવદુર્ગા સોસાયટી જાડેજા કોલ્ડડ્રિંક્સનો આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર સર્કલ પાસેના આઈ શ્રી ખોડિયાર મંદિર (વાવ)માં વરસાદી પાણીનો સતત આવરો રહેતા માતાજીની પ્રતિમા સુધી પાણી પહોંચી ગયું છે. પશ્ચિમમાં મકરબા, માણેકબાગ, જીવરાજ પાર્ક, બોપલની આસપાસના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. હજુ બે દિવસ પવન ફૂંકાવવાની સાથ-સાથે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા સુધી પહોંચી ગયુંહજુ આગામી 24 કલાકમાં લો પ્રેશરની અસરથી શહેરમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાદળિયું વાતાવરણ રહેવા સાથે બુધવારના રોજ મહત્તમ તાપમાન 32.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન 26.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા સુધી પહોંચી ગયું હતું. ગઈકાલે પશ્ચિમના વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ ગઈકાલે પાંચ વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસાદ

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:32 pm

લાંચ લેનારા તલાટીને 4 વર્ષની કેદ:મોરબીમાં ખેડૂત પાસે પ્રમાણપત્ર-હક્કપત્રક માટે લાંચ લેનારા તલાટીને ચાર વર્ષની કેદ અને 20 હજારનો દંડ

મોરબીમાં ખેડૂત ખાતેદારને પ્રમાણપત્ર અને હક્કપત્રકની ટાઇટલ ક્લીયર માટે જરૂર હતી. જે આપવા માટે તલાટીએ તેની પાસેથી 50 હજારની લાંચ માંગી હતી અને અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતાં તલાટીને ઝડપી લીધો હતો. જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલો દ્વારા કરવામાં આવેલી દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે. મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતીલાલ વલ્લભદાસ રાવલ નામના અરજદારે તેની નવા સાદુળકા ગામે આવેલી જમીન વર્ષ 2011માં વેચાણ કરવી હતી. જેથી તેને હક્કપત્રક ટાઇટલ ક્લીયર નોંધ આપવા તેમજ જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્રની જરૂર હતી. જેથી તેને સાદુળકા ગામના તે સમયના તલાટી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તલાટીએ અરજદારનેને કહ્યું હતું કે, તેઓને હોન્ડા લેવું છે. જેથી 50 હજારની લાંચ માંગી હતી અને અરજદાર જયંતિલાલે એસીબીમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ એસીબીએ છટકું ગોઠવીને તલાટી પીતાંબરભાઈ બાપોદરિયાને લાંચ લેતા ઝડપી લીધા હતા અને તેનો ગુનો નોંધાયો હતો. જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ 7 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે આરોપી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:29 pm

વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર:ક્રિષ્ના ફાઉન્ડેશન ખાતે પોલીસ ભરતી બાબતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો; સિનિયર અધિકારીઓએ મર્ગદર્શન આપ્યું

આહિર સમાજ સંચાલિત ક્રિષ્ના ફાઉન્ડેશન ખાતે પી.એસ.આઇ.- કોન્સ્ટેબલ ભરતી બાબતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા રોહિતભાઇ કોઠિયા અને અમદાવાદ શહેરમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા આકાશભાઇ બાલાસરાએ વિદ્યાર્થીઓને પોલીસ ભરતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિતભાઇ કોઠિયાએ જણાવ્યું હતું કે, પોતે મુળ ભોળદર ગામના વતની છે અને પોતે વાડી વિસ્તારમાં ગામડે રહીને ઓનલાઇન પ્લેટફોર્મનો યુઝ કરીને તૈયારી કરી હતી અને પોતાના માતા-પિતાના સરકારી નોકરીના સ્વપને સાકાર કરવા પોતાના લાખોના પગાર વાળી પ્રાઇવેટ નોકરી જતી કરીને તૈયારી ચાલુ કરી હતી અને ત્યારબાદ પોતે પી.એસ.આઇ. તરીકે પસંદગી પામ્યા હતાં. જ્યારે એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા આકાશભાઇ બાલાસરાએ પોતે ગ્રેજ્યુએશન પુર્ણ કરીને ખાખીના સ્વપનને પુર્ણ કરવા રાત-દિવસ એક કરીને તૈયારી કરી હતી અને પોતાની તૈયારીમાં ક્રિષ્ના ફાઉન્ડેશનનો પુર્ણ સહકાર રહ્યો હતો તેવું જણાવ્યું હતું અને બંને અધિકારીઓએ તૈયારી માટેની શરૂઆત સરકારના ધોરણ 6થી 12 પાઠ્યપુસ્તક વાંચીને તૈયારી કરવા માટેની સલાહ આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:26 pm

કૉસ નદીમાં ભારે પુર આવ્યું:ગતરોજ ખાબકેલા ભારે વરસાદના કારણે બાયડ તાલુકાના દાખનેસ્વર પાસે આવેલી નદી બે કાંઠે વહેવા લાગી

છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો. ત્યારે ગઈ સાંજે બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નદી નાળા છલકાયા હતા. બાયડ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સાઠંબા અને આસપાસની નદીઓમાં ભારે પુરની સ્થિતિ જોવા મળી છે. દાખનેસ્વર પાસે અસલી કૉસની નદીમાં નવા નીર આવ્યા છે. ઉનાળાના સમયે સુક્કી ભાસતી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના કારણે સુકાઈ ગયેલા બોર કૂવાના સ્તર પણ ઊંચા આવશે અને ખેડૂતોને ખેતીકામમાં જીવતદાન મળશે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:18 pm

પ્રવેશોત્સવ કાર્યક્રમ:નરોડા કોલેજમાં બીએ /બીકોમ સેમ 1ના 650 વિદ્યાર્થીઓને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું

શ્રીમતી એ. પી. પટેલ આર્ટ્સ એન્ડ સ્વ. શ્રી એન. પી. પટેલ કોલેજ દ્વારા તા. 25/07/2024ના રોજ નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષતામાં અને કેમ્પસ ડાયરેક્ટર ડો. રમેશભાઈ ચૌધરી, કારોબારી સભ્ય પૂનમભાઈની હાજરીમાં બી.એ., બી.કોમ.સેમ- 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રિ. ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને આવકારની સાથે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ, તેમજ કોલેજમાં મળતી વિવિધ સુવિધાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવ્યા હતા. અભ્યાસ ઉપરાંત કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર જે તે ઇન્ચાર્જ અધ્યાપકો દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં એન. સી. સી. વિભાગની માહિતી ડો. ગોવિંદભાઈ ચોધરીએ આપી. એન.એન.એસ. વિભાગની માહિતી ડો. જયંતભાઈ પરમારે આપી હતી. સાંસ્કૃતિક વિભાગની માહિતી ડો. પારૂલબેન પટેલ દ્વારા અપાઈ તથા નરોડા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડો. રમેશભાઈ ચોધરીએ કોલેજમાં ડિસિપ્લિન જાળવવા સાથે રમત ગમત વિભાગની વિગતે માહિતી આપી હતી. નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ડૉ. મંજુલાબેન વિરડીયા અને પ્રો. મનોજભાઈ પારેખે નવી શિક્ષણ નીતિ અંતર્ગત NEP - 2020 તેમજ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC)ની વિગતે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટ પણ બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 650 વિદ્યાર્થીઓએ હાજર રહ્યા તેમનું ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પારૂલબેન કર્યું હતું અને આભાર વિધિ ડો. સુરેશભાઈ પટેલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:15 pm

સ્થાનિકોને સમસ્યા:પાલનપુરની શક્તિનગર સોસાયટી ભાગ-2માં સામાન્ય વરસાદમાં ભરાતા સ્થાનિકોએ કલેકટરને રજૂઆત કરી

પાલનપુર માં આવેલી સોસાયટી શક્તિનગર ભાગ 2 માં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા રહીશું પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલિકા દ્વારા પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ પાઇપલાઇનમાં કચરો ફસાઈ જવાના કારણે પાણીનું નિકાલ થતો નથી જેના કારણે પાણી સોસાયટી થી બહાર જતું નથી સોસાયટીમાં પાણી ભરેલું રહેવાથી રોગચાળો ફાટી નીકળવાની રહીશો ને ભય સતાવી રહ્યો છે. આવનાર સમયમાં વધુ વરસાદ પડે તો સોસાયટીમાં પાણી ઘરોમાં ભરાઈ જાય તેવી સ્થિતિ જોવા મળે તેમ છે .વહેલી તકે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવે તેવું કલેક્ટરને શક્તિ નગર ભાગ 2 ના સોસાયટીના રહીશો આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. અંગે રજૂઆત કરવા પહોંચેલ રહીશો એ જણાવ્યું હતું કે શક્તિનગર ભાગ 2 માં ગટરનું પાણી વપરાય છે અને સામાન્ય વરસાદમાં ત્યાં પાણી ભરાય છે બાળકોની શાળાએ જવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે ગટર વધારે ઉભરાય તો પાણી ઘરોમાં ઘૂસી જાય છે નગરપાલિકામાં રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી અને તેનો કોઈ નિકાલ આવ્યો નથી માત્ર આવે છે તો ચેમ્બરો બનાવીને જતા રહે છે ચોમાસુ સીઝન હોવાના કારણે સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે ઘરોમાં ઘૂસી જવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓ બેઠી રહ્યા છીએ સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:15 pm

ઘેડ પંથકમાં પુરમાં ફસાયેલા બિમાર લોકોનું રેસ્ક્યૂ:પોરબંદરના ચાર વર્ષના બિમાર બાળકને હોડીની મદદથી સારવાર માટે ખસેડાયો

પોરબંદરના ઘેડ પંથકમાં પુર વચ્ચે ફસાયેલા લોકો ઉપરાંત બિમાર લોકોને રેકસ્યૂ કરવામાં આવી રહ્યા છે. મોકર સાગર વિસ્તારમાં મંદિરના મહંતનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મંડેર ગામે બિમાર ચાર વર્ષના બાળકોની મદદે NDRFની ટીમ પહોંચી હતી. મોકર સાગર વિસ્તારમાં આવેલા વિદ્યાવાસી માતાજીના મંદીર ફરતે પાણી ફરી વળ્યા હતા. મંદિરના મહંત પાણીમાં ફસાતાં તેમણે તંત્રની મદદ માંગી હતી. આથી એનડીઆરએફ, નવીબંદર મરીન પોલીસ અને ગોસાબારાના જુમાભાઇ મરછીયારના પરિવારના સભ્યો હોડી લઇને મદદે દોડી ગયા હતા અને ધસમસતા પાણી વચ્ચે રેસ્ક્યુૂ કરી અને મહંતને સલામત સ્થળ ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદ અને ભાદર અને ઓઝતના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી છે. પાણીમા ફસાયેલા અને બિમાર લોકોના રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. માધવપુરના મંડેર ગામે પુરના પાણી ફરી વળ્યા હતા. તેવા સમયે ચાર વર્ષના એક બાળકને તાવ આવતાં તેની તબિયત લથડી હતી. તેને સારવારની જરૂરિયાત ઉભી થતાં તેમણે તંત્રની મદદ માંગી હતી. આથી અનેડીઆરએફની ટીમ અને માધવપુર પોલીસ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે હોડીની મદદ લઇ અને મંડેર ગામે પહોંચ્યા હતા. બાળક અને તેમની માતા સાથે સારવાર માટે માધવુપરની હોસ્પસ્ટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ એક કૂતરાનું પણ સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:12 pm

કુમકુમ મંદિરનાં સંતોનું 31મી જુલાઈએ લંડનમાં આગમન:વિચરણ દરમ્યાન સત્સંગ સભા સહિતના અનેક ધાર્મક કાર્યક્રમો યોજાશે; 4થી ઓગષ્ટે કુમકુમ લંડન મંદિરનો 11મો પાટોત્સવ ઉજવાશે

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે તા. 31/07/2024થી લંડન જવાના છે. જેઓ 18 ઓગષ્ટ સુધી લંડનના પાર રોડ - સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિંદ્ધાંત સજીવન મંડળ - કુમકુમ - યુ.કે. ખાતે નિવાસ કરશે અને નિત્ય સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન સત્સંગ સભા યોજાશે. આ સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી, હરિવલ્લભદાસાજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે. આ વિચરણ દરમ્યાન કીર્તન-ભક્તિ, અબજીબાપાની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહીક આરતી, યુવા શિબિર આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિર લંડન છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. જ્યાં તા. 4 ઓગષ્ટના રોજ સવારે 8થી 12 વાગ્યા સુધી 11મા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. સાધુતાની મૂર્તિ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ ઉપર 8 વખત પધાર્યા છે અને સૌને સંસ્કાર અને સદાચારના પિયુષ પાયા છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:07 pm

દ્વારકામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ:કહ્યું 'હજુ સુધી ભાજપના કોઈપણ નેતા અહીં આવ્યા નથી; અમે સ્થાનિકો સાથે વાતચીત કરી, કલેક્ટર તેમજ સરકાર સુધી લોકોની વાત પહોંચાડીશું'

રાવલ આસપાસ વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં ધસમસતા પાણી ફરી વળતાં ખેતરોમાં ધોવાણ થયું છે. સાથે જ વ્યાપક વરસાદના કારણે રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. ત્યારે લોકોને ભારે તકલીફ હોઈ કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા, મહામંત્રી સારાહ મકવાણા, લખમણ આંબલિયા પાલ, આંબલિયા રાજાભાઈ પોસ્તરિયા સહિતના અગ્રણીઓ આજે રાવલ હનુમાન ધાર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિકો સાથે વાતચીત કરી કલેક્ટર તેમજ સરકાર સુધી લોકોને આ મામલે રજૂઆત કરવામાં આવશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હજુ સુધી ભાજપના કોઈપણ નેતા અહીં આવ્યા નથી.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:03 pm

મેગા ટ્રેડ ફેર:27 અને 28 જુલાઇએ JITO દ્વારા YMCA ક્લબ ખાતે મેગા ટ્રેડ ફેર બિઝનેસ બજાર યોજાશે

જીતો (JITO) દ્વારા તારીખ 27 અને 28 જુલાઇને શનિવાર-રવિવારના રોજ અમદાવાદની YMCA ક્લબ ખાતે મેગા ટ્રેડ ફેર બિઝનેસ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. બિઝનેસ બજાર અંગે માહિતી આપતા જીતો-અમદાવાદના ચેરમેન અસીત શાહે જણાવ્યું હતું કે, સતત ત્રીજા વર્ષે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડફેરમાં નાના-મોટા 110 જેટલા વ્પાપારીઓએ સ્ટોર રાખ્યા છે. જેમાં 25 જેટલા સ્ટોલ મહિલા આંત્રપ્રિન્યોર્સ છે. બિઝનેસ બજારના કન્વિનર પિયુષ જૈને જણાવ્યું કે, આ ટ્રેડફેરમાં રિયલ એસ્ટેટ, હેલ્થકેર, હોમ ડેકોર, જ્વેલરી, ફર્નિચર, ઇલેક્ટ્રિક ગુડ્સ, ફિટનેસ, કોમ્પ્યુટર, લાઇફ સ્ટાઇલ, ફેશન જેવા ક્ષેત્રના વ્યાપારીઓએ સ્ટોલ રાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 5:01 pm

દાદી તેડીને સિવિલ પહોંચ્યા પણ...:સુરતમાં 14 દિવસની એકની એક દીકરીનું ઝાડા ઉલટી અને તાવ બાદ મોત, હોસ્પિટલે જતા રસ્તામાં જ પ્રાણ પંખેરું ઊડી ગયું

સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. આ રોગચાળાએ તો હવે માત્ર 14 દિવસની બાળકીનો ભોગ લીધો છે. પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પરિવારમાં પહેલી દીકરીના જન્મની ખુશી 14 જ દિવસમાં શોકમાં પરિણમી હતી. બે દિવસથી ઝાડા અને ઊલટી થતા હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. જો કે, તેને કમળાની અસર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તબિયત લથડતાં દાદા અને દાદી તેડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, બાળકીને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. પહેલું સંતાન હોવાથી પરિવાર ખુશ હતોમળતી માહિતી પ્રમાણે, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં રાહુલ ચોરસિયા પરિવાર સાથે રહે છે. રાહુલ સાડીના લે-વેચના ધંધા સાથે સંકળાયેલો છે. પરિવારમાં માતા-પિતા, પત્ની અને 14 દિવસ પહેલા જન્મેલી એક દીકરી હતી. દોઢ વર્ષ પહેલા રાહુલના સારિકા સાથે લગ્ન થયા હતા. દરમિયાન સારિકા ગર્ભવતી હોવાથી પરિવારને પહેલું સંતાન મળવાનું હોવાથી પરિવાર ખુશ હતો. પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા14 દિવસ પહેલા સારિકાએ રાંદેર ખાતે આવેલા એક હેલ્થ સેન્ટરમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. હજુ તો આ બાળકીનું નામ પણ રાખ્યું નહોતું. દરમિયાન બે દિવસ પહેલા તેને ઝાડા અને ઊલ્ટી થવા લાગી હતી. જેથી નજીકમાં જ આવેલા પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા. ત્યારબાદ તેની તપાસ કરતા તેને કમળાની થોડી અસર હોવાનું પણ જણાવાયું હતું અને વધુ સારવાર માટે લઈ જવા માટે પરિવારને જણાવ્યું હતું. સવારે બાળકીની તબિયત વધુ લથડી હતીઆજે સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી. જેથી દાદા અને દાદી બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. સુરત સિવિલ ઇમર્જન્સી વિભાગમાં આ બાળકીને દાદી તેડીને ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારને એકની એક દીકરીના મોતના સમાચાર જાણીને ફરીવાર ચોકમાં ગરકાવ થઈ ગયું હતું. PM રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે14 દિવસની બાળકીના મોતના પગલે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:55 pm

કેન્યામાં હિંડોળા ઉત્સવ ઉજવાયો:શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ખાતે હિંડોળા ઉત્સવ પ્રારંભે ભક્તિ સંધ્યાનું આયોજન કરાયું

અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે હરિને ઝુલાવવાનો ઉત્સવ. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. હિંડોળા ઉત્સવે ભક્તિમય સેવા કરવાથી એમાં કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીંચે છે. અષાઢ- શ્રાવણમાસમાં આકાશમાં ક્યાંક ઘટાટોપ વાદળો હોય, તો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક અનરાધાર વરસાદ વરસતો હોય. ચારે બાજુ ધરતી ઉપર લીલીછમ હરિયાળી છવાયેલી હોય ત્યારે સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં મહાપ્રભુજીને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી- કેન્યામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંતોનાં સાનિધ્યમાં હિંડોળા ઉત્સવ પ્રારંભે ભક્તિ સંધ્યાનું હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું. હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભગવાનમાં પ્રેમ વધે છે અને તેમની સર્વ પ્રકારની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે. પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો આ એક ઉત્સવ છે. ભક્તો શણગારેલા હિંડોળામાં ભગવાને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ગાય છે. સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. મંદિરમાં હિંડોળા ઉત્સવમાં જનારના સંકલ્પો શમી જાય છે. અત્યારે ચર્તુમાસમાં પણ આજે અષાઢ વદ બીજ એટલે હિંડોળા ઉત્સવનો પ્રારંભ. આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી - કેન્યામાં ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી - કેન્યાના યુવાન હરિભક્તોએ સાથે મળીને કીર્તન ભક્તિ કરીને ભગવાનને રાજી કરવાનો લ્હાવો લીધો હતો તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં હરિભક્તોએ સાથે મળીને હિંડોળા ઉત્સવ પ્રારંભે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના કંકુથી હસ્તલિખિત 212 શ્લોકો રચિત સુંદર રમણીય હિંડોળામાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને બિરાજમાન કરીને ઝુલાવાનો અણમોલ અવસરનો લ્હાવો લીધો હતો. આ પાવનકારી અવસરે સહજાનંદ સ્વામી, હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તથા નાના, મોટા, આબાલવૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં ભક્તિ સંધ્યા તેમજ હિંડોળામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરનો લ્હાવો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં વસતા હરિભક્તોએ ભકિતભાવપૂર્વકના અંતરના ઉમળકાભેર લીધો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:54 pm

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી 42 મોત:હિંમતનગરથી શરૂ થયેલો ચાંદીપુરા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સુધી પહોંચ્યો; હજુ પણ 54 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. શરૂઆતમાં આ વાઇરસની અસર ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પંરતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોને પણ આ વાઇરસે પોતાની ઝપેટમાં લીધા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચાંદીપુરા વાઇરસથી 43 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 118 દર્દીઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. જેમાંથી 43 દર્દીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવો જાણીએ ભાસ્કરના ચાંદીપુરા વાઇરસ અંગેના આ ખાસ અહેવાલમાં નાનકડા એવા ગામથી શરૂ થયેલા આ વાઇરસે ક્યાં ક્યાં હાહાકાર મચાવ્યો છે અને કેટલા પરિવાર ઉઝાડ્યા છે અને કોણ હજી પણ આ વાઇરસને લઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, જ્યારે સરકાર અને પુણેની ટીમ વાઇરસને ફેલાતો અટકાવવા શું કામગીરી કરી રહી છે. ચાંદીપુરા વાઇરસનો સૌ પ્રથમ કેસ 27 જૂને બહાર આવ્યોહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસનો પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થતા સામે આવ્યો હતો. ત્યાર બાદ 5 જુલાઈ 2024ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય બાળકીનું આ વાઇરસના કારણે મોત નીપજ્યું હતું. 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારિયા ગામના 5 વર્ષીય બાળક અને અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. આમ, 17 દિવસમાં ચારનાં મોત થતા લોકોમાં ચાંદીપુરા વાઇરસનો ખોફ દિવસે ને દિવસે વધતો ગયો હતો. જે આંકડો હવે 2 મહિનામાં વધીને 118ને પાર પહોંચી ગયો છે. ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દીઓ દાખલગુજરાત રાજ્યના શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના હાલ 54 દર્દીઓ દાખલ છે અને 23 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનના કુલ 3 કેસોમાં 2 દર્દી દાખલ છે અને 1 દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશના 2 કેસો સામે આવ્યા હતા જેમાં બંને દર્દીઓ હાલ દાખ છે અને મહારાષ્ટ્રથી સામે આવેલા 1 કેસમાં હાલ પણ દર્દી સારવાર હેઠળ છે. ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશેચાંદીપુરા વાઇરસના કેસ વધતા જતા અને જે સેમ્પલો પુણે મોકલવામાં આવતા હતા તેના રિપોર્ટ પરત આવવા ઘણો સમય લાગતો હોવાથી વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. આરોગ્ય વિભાગની ટીમે પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીઓના ઘર અને આસપાસના વિસ્તારના ઘરોને મળી કુલ 38,670 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી છે. જ્યારે ગામોના તમામ કાચા મકાનોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/ સ્પ્રેઇંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ચાલી રહેલી કામગીરી ચાંદીપુરાગ્રસ્ત વિસ્તારોની તપાસમાં પુણેની ટીમ ગુજરાતમાંસમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 15 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ બાળકનાં મોત થયાં હતાં. એને લઈને આજે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ પંચમહાલ પહોંચી હતી. બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સેન્ડફ્લાય સહિત જીવજંતુઓનાં સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરશે. બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમે તપાસ હાથ ધરીનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી પુણેથી બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલી સ્ટાફ મળી કુલ ચારની ટીમ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલની વિઝિટ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને કઈ રીતે ચાંદીપુરા વાઈરસના કેસ બન્યા એની હિસ્ટ્રી મેળવી હતી. ઘરોમાં પાંજરા મૂકી ઉંદર પકડ્યાગોધરા સિવિલ બાદ પંચમહાલના જે ગામમાં પહેલો કેસ નોંધાયો હતો. તેવા કોટડા ગામની મુલાકાત લીધી હતી. આ મામલે જે પરિવારની બાળકીનું મોત થયું હતું તેમના પરિવારના સભ્યોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેમજ પશુઓનાં પણ સેમ્પલ લીધાં હતાં. NIV ટીમે વધુમાં આ મામલે આસપાસનાં ઘરોમાં ઉંદર પકડવાનાં પાંજરાં મૂક્યાં હતાં. તેમાં પકડાયેલા ઉંદરના લોહીના પણ સેમ્પલ લીધાં હતાં. ત્યાર બાદ ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ગામની પણ મુલાકાત લીધી હતી. આ સાથે સેન્ડ ફ્લાય માખીનાં પણ સેમ્પલો લેવાની કામગીરી ટીમ દ્વારા કરવામાં આવી હતી. સેમ્પલ પુણા મોકલવામાં આવ્યાંગોધરા તાલુકાના કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુણાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલા ઝીંઝરી ગામે એક 11 માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને મોતને ભેટી હતી. ત્યાં પુણાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજિસ્ટની ટીમે પહોંચી પરિવારના સભ્યો સાથે સાથે આજુબાજુમાં જે પણ પડોશીઓ છે તેમનાં સેમ્પલો કલેક્ટ કર્યા હતાં. અંદાજે 200 જેટલી સેન્ડફ્લાયને આજુબાજુમાંથી કલેક્ટ કરીને પરીક્ષણ માટે પુણા ખાતે મોકલવામાં આવી હતી. શું છે ચાંદીપુરા વાઈરસ?આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. વાઈરસ કોને સંક્રમિત કરી શકે છે?ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે. 2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાઇરસપુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાઇરસ રિસર્ચ સેન્ટરના પી.એન. ભટ્ટ અને એફ.એમ. રોડ્રિજ્યસ નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાઇરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં આ વાઇરસ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ 2010માં પણ ચાંદીપુરા વાઇરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો. જ્યારે વર્ષ 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં પણ આ વાઇરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યાર બાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોમાં પણ આ રોગના દર્દીઓ નોંધાયા હતા. ગુજરાતમાં દર વર્ષે આ વાઇરસના કેસ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:48 pm

પોલીસે 3.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો:મોરબીના બેલા ગામ પાસેથી દારૂની 60 બોટલ ભરેલી કાર સાથે બે શખસની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામથી આગળ આવેલા પંચશીલ કોમ્પલેક્ષ સામેથી કાર પસાર થઈ રહી હતી તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતાં તેમાંથી 60 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર મળીને 3,20,400ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામથી આગળ પંચશીલ કોમ્પલેક્ષ સામેથી સ્વિફ્ટ કાર નંબર જીજે 3 એમઈ 3813 પસાર થઈ હતી. જે કારમાં ચેક કરવામાં આવતાં તેમાંથી દારૂની 60 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 20,400ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 3,20,400ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કારમાં બેઠેલા આરોપી રાજેશભાઈ મનુભાઈ અખીયાણી (ઉં.30, રહે. લાલપર સિરામિક સીટી અવધ સીટી ફ્લેટ નં-201 મોરબી મૂળ રહે. હમીરપર ગામ તાલુકો રાપર જિલ્લો કચ્છ) અને રાજેશભાઈ દલસુખભાઈ અઘારા (ઉં.29 રહે. ધર્મમંગલ સોસાયટી સીએનજી પમ્પની બાજુમાં મહેન્દ્રનગર મોરબી મૂળ રહે આસલપુર તાલુકો વિંછીયા જિલ્લો રાજકોટ)ની ધરપકડ કરી બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:41 pm

આરોગ્ય કમિટી ચેરેમેનની અધિકારીઓને ચીમકી:ગંદકી કરનારા તત્વો સામે પગલાં લો, નહીંતર અમારે કાર્યવાહી કરવી પડશે

ચોમાસાના પ્રારંભ સાથે જ ગેસ્ટ્રો, તાવના કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે તંત્ર દોડતું થયું છે. ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારના ચોક્કસ પોકેટોમાં ગંદકીની ભરમાર છતાં આરોગ્ય વિભાગ નિદ્રાધીન હોવાની ફરિયાદ આરોગ્ય કમિટીની બેઠકમાં સેન્ટ્રલ ઝોનના કેટલાક સભ્યોએ કરી હતી. પરિણામે કમિટીના ચેરમેન નેન્સી શાહે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી ગંદકી કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની અન્યથા અધિકારીઓ પર કમિટી દ્વારા કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટ ચીમકી આપી હતી. ગંદકી કરનારા સામે કાર્યવાહી કરવા તાકીદઆરોગ્ય કમિટીની બેઠકમાં ખાસ કરીને વોર્ડ નં. 12 અને 13ના ચોક્કસ પોકેટોમાં ગંદગીનું સામ્રાજય હોવાની, પાણીના ભરાવા અને જંતુનાશક દવાનો છંટકાવ થતો ન હોવાથી મચ્છરોની ઉત્પત્તિની ફરિયાદ કરવામાં આવી હતી. મચ્છરોને કારણે આસપાસના વિસ્તારોમાં માંદગીના કેસો વધી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જર્જરીત બંધ મકાનોની સંખ્યા પ્રમાણમાં વધુ છે અને આ મકાનોમાં ગંદગીને કારણે મચ્છરોના બ્રિડિંગ વધી ગયા છે. સિનીયર સભ્ય રાકેશ માળી અને રેશ્મા લાપસીવાલા દ્વારા ચોક્કસ પોકેટો સાથે ફરિયાદ કરવામાં આવી હોવાથી ચેરમેન નેન્સી શાહે પણ તાત્કાલિક સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશેઃ નેન્સી શાહઆ મામાલે નેન્સી શાહે જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ગાડીઓ કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ પણ સભ્યોએ કરી હતી.અમને ફરિયાદ મળી છે કે, અનેક જગ્યાઓ પર ગંદકી થાય છે, ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ફરિયાદ મળી છે. આ માટે અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે જણાવ્યું છે. સાથે કહેવામાં આવ્યું છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી સારી રીતે થાય આ માટે ખાસ તકેદારી રાખવામાં આવે. નહીંતર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમામ અધિકારીઓ આવતા નથી, પરંતુ કેટલાક અધિકારીઓ સારી રીતે સમસ્યા સાંભળતા નથી અને નિકાલ લાવતા નથી, આ માટે આ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:36 pm

ભારે વરસાદથી ખેતીપાકને નુકસાન:નવસારીમાં પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન, ખેડૂતોએ સર્વ કરી વળતર આપવાની માગ કરી

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાવવા સાથે ખેતીમાં પણ વ્યાપક નુકસાની થઈ છે. આજે નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ દિવ્યભાસ્કર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં થયેલી નુકસાનીનો કયાશ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા સદલાવ ગામની વાત કરવામાં આવે તો ગામના અનેક ખેડૂતોને માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. આ ગામમાં શાકભાજી, ડાંગર સહિત શેરડીનો પાક વાવવામાં આવે છે. ચોમાસું પાક તરીકે શાકભાજીને વર્ષોથી વાવતા ખેડૂતોને વરસાદે રીતસર રડાવ્યા છે. ખેતીમાં વરસાદી પાણી ભરાતા વેગળ, ભીંડા,તુરીયા સહિતનો પાક નષ્ટ થયો છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. સદલાવ ગામના ખેડૂત શિવ પટેલના ખેતરમાં ડાંગરનો પાક થોડા દિવસ અગાઉ વાવવામાં આવ્યો હતો. વરસાદનું પાણી ખેતરમાં ભરાઈ રહેતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હોવાનું તેમનું માનવું છે. તેમણે JCB બોલાવીને ખેતરમાંથી પાણી કાઢવાની નોબત આવી છે. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે ખેતીવાડી વિભાગ સર્વે કરવા માટે તો આવે છે પરંતુ તેમને કોઈ દિવસ પાક નુકસાની સામે વળતર મળ્યું નથી. ખેતીવાડી વિભાગ પહેલા તો અલગ અલગ કાગળ માંગે છે અને તે આપ્યા બાદ પણ કોઈ વળતર અંગેની કાર્યવાહી થતી નથી તેમને એક વીઘે આઠથી દસ હજાર જેટલી નુકસાની ગઈ છે ડાંગરનો પાક 99 ટકા નુકસાન થયું છે પરંતુ અમે જેસીબી બોલાવીને પાણી બહાર કાઢી રહ્યા છે.જેથી નુકસાન કેટલી થઈ છે તેનો સચોટ ખ્યાલ આવે. નવસારી જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલ જણાવે છે કે, ખેતીમાં થતી સતત નુકસાની ચિંતાનો વિષય છે. વધુ પડતા વરસાદને કારણે ઉત્પાદન ઘટે છે અથવા તો નુકસાન પામે છે દિવસે ને દિવસે ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી ખેડૂતો ખેતરો આમને આમ જ ખેડ્યા વગર રહેવા દે તો તેમને નુકસાન ઓછું થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોને વીમા કવચ મળતું નથી તે મળે તે ખૂબ જરૂરી છે. શાકભાજીમાં વેલવાળા શાકભાજી, છોડ સહિતના પાકોને નુકસાની થઈ છે. શાકભાજીને સામાન્ય રીતે વધારે પાણીની જરૂર રહેતી નથી પણ વરસાદનું પાણી ખેતીમાં ભરાતા શાકભાજીનો પાક નષ્ટ થયો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત શાકભાજી જેવા પાકોને સમાવવામાં આવે તેવી અમારી માંગ છે. ખેતીવાડી વિભાગ નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ સરકારને આપીને વળતર ખેડૂતોને મળે તેવી અમારી માંગ છે. બીજી તરફ APMC પ્રમુખ પ્રકાશ પટેલ જણાવે છે કે ભારે વરસાદને કારણે શાકભાજીના પાકમાં નુકસાની થતા શાકભાજી મોંઘા થયા છે જેને કારણે મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ પણ બગાડ્યું છે. રોજબરોજના ઉપયોગમાં આવતા શાકભાજી મધ્યમ વર્ગ ખરીદતો હોય છે પરંતુ આ વરસાદને કારણે શાકભાજી પાકમાં નુકસાની જતા સામાન્ય રીતે એમાં ભાવ વધારો આવતો હોય છે અને તે ભાવ વધારો મધ્યમ વર્ગની કમર તોડી નાખશે. જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે નુકસાની અંગે હજુ સુધી મને કોઈ ખેડૂતોનો ફોન આવ્યો નથી મેં મારી રીતે જિલ્લામાં ગ્રામસેવક પાસેથી આ મામલે તપાસ કરાવીને નુકસાની અંગે નો રિપોર્ટ મેળવી લઉં છું.

દિવ્ય ભાસ્કર 25 Jul 2024 4:35 pm

કામોને મંજુરી:આયોજન મંડળની બેઠક, 367 કામોને મંજુરી

જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મુછારનાં અઘ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ, ઇણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાની 15% વિવેકાધિન જોગવાઈ મુજબ રૂ.984.22 લાખના 367કામોનાં આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજ કલ્યાણના વિકસતી જાતિ વિભાગ અંતર્ગતના ખાસ પ્લાનનાં રૂ.25લાખના 7 કામોનાં આયોજનની મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠકમાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિયમ મુજબ કરવાપાત્ર મંજૂર અને નામંજૂર કરવામાં આવેલા કાર્યોની વિગતો મેળવીને ફેરફાર કરવાપાત્ર કાર્યો માટે જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડિનાર ના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા, વિમલ ચુડાસમા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) ગાંધીનગરના નિરીક્ષક એ.એફ.અમીન, પદાધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કલેકટર, અધિકારીઓ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા'તા : વિવિધ સુચનો પણ કરવામાં આવ્યા હતા વેરાવળમાં આયોજન મંડળની મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:37 am

રજૂઆત:ગોધરાના વાવડી ખુર્દ પાસેના ટોલ પ્લાઝાને બંધ કરવા કોગ્રેસની માગ

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને વાવડી ખુર્દ ટોલ પ્લાઝા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે માર્ગ પર ટોલાપ્લાઝા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી જંગી ટોલ વસૂલવામાં આવે છે, જે નીતિ મુજબ ગેરકાયદેસર છે, કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે જો 60 કિમીની અંદર બે ટોલ પ્લાઝા હોય તો તેના દ્વારા વસૂલવામાં આવતો ટોલ ટેક્સ ગેરકાયદેસર છે, તેથી નજીકના શહેર નજીકનો ટોલ પ્લાઝા બંધ કરવો જોઈએ, વાવડી ખુર્દ ટોલ પ્લાઝા ગોધરા શહેર અને ગ્રામ્ય, શહેરા અને કાલોલ તાલુકાના વિવિધ ગામોની ખૂબ નજીક આવેલો છે, જ્યાં અતિશય ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, જે ગંભીર અને ચિંતાજનક બાબત છે. ખેડા જિલ્લાના ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરે આવતા-જતા ભક્તોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:37 am

દુઘર્ટના:વાંસિયા તળાવ ગામે દિવાલ પડતા શ્રમિકનું મોત

વાસિયા તળાવ ગામે શાળામાં નવા ઓરડા બનાવવાનું તેમજ રિપેરિંગ કામ દરમિયાન દિવાલ પડતા એક ઇસમનું મોત નિપજ્યું હતું. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઓરડા નવા બનવાનું તેમજ રિપેરીંગ કામ ચાલી રહ્યું હતું. દરમિયાન દિવાલ તૂટી પડતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ધાંગડી ગામેથી મજૂરી કામે આવેલા આશિષ દીપકભાઈ પવાર (ઉ.વ. 26) અને વિજય સુરેશભાઈ વળવી દિવાલ નજીક ઇંટ ઉચકવાનું કામ કરી રહ્યાં હતા. તેમના ઉપર દિવાલ પડતા આશિષ પવાર અને વિજય વળવીને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને ગંભીર ઇજાને પગલે સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આશિષને વધુ સારવારની જરૂરત હોવાથી નવસારી સિવિલ હોસ્પિટલમાં રિફર કરતા હતા એ દરમિયાન વાંસદા-ચીખલી રોડ પર આવેલા કંડોલપાડા ગામની હદમાં તેનું મોત નિપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:35 am

ધરપકડ:ખારેલમાંથી ચોરીના 2.76 લાખથી વધુના સળિયા સાથે બે ઝડપાયા

છેલ્લા કેટલાક સમયથી હાઇવે પર અનેક સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઇ રહી છે, જે અંતર્ગત ખારેલથી ચોરીના 5030 કિલોગ્રામ લોખંડના સળિયા રૂ. 2,76,650 સાથે પોલીસે બે ઇસમને દબોચી લીધા હતા. ગણદેવી પીએસઆઇ ડી.એમ.રાઠોડ તથા અપોકો મુનેશભાઈ ભલાભાઈ તથા અ.પો.કો.નિર્મળસિંહ પ્રભાતસિંહે મળેલી બાતમીને આધારે પુનારામ કોલાજી ચૌધરી (રહે. ગણદેવા, ખારેલ, આનંદ વાટિકા સોસાયટી, તા. ગણદેવી) તથા સમારામ દોલારામ ચૌધરી (ઉ.વ. હાલ રહે.ચારકોક્ગાવ, જલારામ મંદિર, કાંદિવલી, મુંબઇ)એ મટવાડ ગામની સીમમાં ખારેલ ઓવરબ્રિજના ઉત્તર છેડાથી સહેજ આગળ ને.હા.નં. 48 મુંબઇથી અમદાવાદ જતા રોડની પશ્ચિમે આવેલ હિન્દુસ્તાન ઓટો ગેરેજની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોખંડના સળિયા ચોરી અથવા છળકપટથી મેળવી સંગ્રહ કરી રાખ્યો છે અને જે સગેવગે કરવાની પેરવીમાં હોય તેવી બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરતા બે ઇસમો પાસેથી આધાર પુરાવા–બીલ વગરના લોખંડના સળિયા, ચેનલ, પાઈપ એન્ગલ, બીમ 5030 કિ.ગ્રા. રૂ. 2,76,650 તથા મોબાઈલ રૂ. 5 હજાર મળી રૂ. 2,81,650નો મદ્દામાલ મળી આવતા અટક કરી આગળની તપાસ PSI ડી.એમ.રાઠોડ કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:33 am

પાલિકાની કાર્યવાહી‎:લટકતા જોખમી કાપેલા વૃક્ષોના ડાળખાઓ હટાવાયા

નવસારીના મોટાબજાર વિસ્તારમાં આવેલ ટાઉન પોલીસ સ્ટેશન‌ મથકથી જૂની પાણીની ટાંકીને જોડતા માર્ગ પર આવેલા દિવાલમાં ઉગી નીકળેલ વૃક્ષો જોખમરૂપ બની શકે તેમ હતા. આમ છતાં તંત્ર દ્વારા જાહેર માર્ગને અડીને આવેલો તથા દિવાલો જર્જરિત હાલતમાં હોય ચોમાસામાં આ વૃક્ષો નમી પડતા આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ તથા વાહન ચાલકો માટે જોખમરૂપ બની શકે તેમ હોવા આ બાબતે દિવ્ય ભાસ્કરમાં આ તો ખોટું કહેવાય અહેવાલ અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા વૃક્ષોના જોખમરૂખ મોટા ડાળખાઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કાપ્યા બાદ ત્યાં જ લટકતા દિવાલ ઉપર રાખી દેવામાં આવેલા હોય દિવ્ય ભાસ્કરના અહેવાલના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર સફળ જાગતા હાલ આ કાપેલા વૃક્ષના દિવાલ ઉપર લટકતા જોખમી બની શકે તેવા ડાળખા હટાવવાની કામગીરી કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:32 am

શહેરીજનો મુશ્કેલી:પોરબંદરમાં નવા બનાવવામાં આવેલ ચોપાટી વોક- વેમાં જ્યાં જુઓ ત્યાં ગદંકી

પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિરથી જુના બંદર સુધી નવા વોકવે નું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ વોકવે ઉપર ચોતરફ ગંદકી જોવા મળી રહી છે તેમજ આ વોકવે ઉપર બંદર રોડ ઉપર આવેલ સોચાલયનું ગંદુ પાણી પણ આવી રહ્યું છે જેથી આ વોક વે નો શહેરીજનો ઉપયોગ કરી શકતા નથી પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલ છે.આ ચોપાટી ખાતે દિવસ દરમ્યાન હજારો પ્રવાસીઓ તેમજ શહેરીજનો મુલાકાતે આવતા હોય છે. તાજેતરમાં આ ચોપાટીનો વિકાસ કરી જી.એમ.બી દ્વારા સ્મશાન નજીક આવેલ ઇન્દ્રેશ્વર મંદિર થી જુના બંદર સુધીના દરિયા કાંઠે નવો વોકવે બનાવવાના કામનું કરોડો રૂપિયાના ખર્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કામ છેલ્લા ઘણા સમયથી પૂરું પણ થઈ ગયું છે પરંતુ સફાઈના અભાવે તેમજ જાળવણીના અભાવે આ વોકવે ઉપર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે.આ વોકવે ઉપર બંદર રોડ ઉપર આવેલ જાહેર સોચાલયનું ગંદુ પાણી પણ આવતું હોવાથી શહેરીજનો વોકવે ઉપર જવામાં પણ મુશ્કેલી વેઠી રહ્યાં છે ત્યારે આ વોક વે ઉપર પણ રોજ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:32 am

જુગાર:પાતા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

પોરબંદર જિલ્લાના પાતા ગામની ડેલાવળ સીમ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે ગઇકાલે રાત્રીના સમયે પોલીસે દરોડો પાડીને 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂ. 21740 નો મુદામાલ કબજે કર્યો છે.પોરબંદર તાલુકાના પાતા ગામની ડેલાવળ સીમ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે ગઇકાલે રાત્રીના સમયે પોલીસે દરોડા પાડીને કારા ટપુભાઇ કડછા, લખમણ બોઘાભાઇ કડછા અને મહેશ દેવજીભાઇ ગઢીયા નામના શખ્સોને ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂ. 21740 કબજે કર્યા હતા. પોલીસે આ ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુન્હો નોંધીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના હે.કો. એચ. એસ. મોઢવાડીયાએ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:31 am

સમારકામ કરવા માંગ ઉઠી:વોર્ડ નં. 5માં ચાલીના ગેઇટ પાસે સાંઢિયા ગટરના સ્લેબમાં ગાબડું

પોરબંદરના વોર્ડ નંબર 5માં સસ્તા ભાડાની ચાલી તરીકે ઓળખાતા ચાલીના ગેઇટ પાસે સાંઢિયા ગટરના સ્લેબમાં ગાબડું પડ્યું છે અને પશુઓ ખાબકી જાય છે, કોઈ અઘટિત ઘટના બને તે પહેલા સમારકામ કરવા માંગ કરવામાં આવી છે. પોરબંદરના વોર્ડ નંબર 5માં લોહાણા સમાજ સંચાલિત સસ્તા ભાડાની ચાલી તરીકે ઓળખાતી ચાલીના ગેઇટ પાસે સાંઢિયા ગટરના સ્લેબમાં ગાબડુ પડયું છે. અવારનવાર અહી પશુઓ ખાબકી જાય છે અને સ્થાનિકોને પણ ખાબકી જવાનો ભય રહે છે. અહી વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી પોરબંદર જિલ્લા કોળી સેનાના પ્રમુખ મનોજ મકવાણા દ્વારા મૌખીક રજૂઆત કરવામાં આવી છે. હાલ ચોમાસું છે જેથી વરસાદી પાણીમાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા સમારકામ કરવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:31 am

કલેકટરને આવેદન:ગણદેવામાં 200 વર્ષ જૂનું સ્મશાન તોડી પડાતા મોરચો

નવસારીના ગણદેવા ગામે 200 વર્ષથી જૂની આદિવાસી સમાજ દ્વારા સ્મશાનભૂમિનો ઉપયોગ થતા તે અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા. કલેકટરને આવેદન આપી અસામાજીક તત્વો સામે એટ્રોસિટી મુજબનાં પગલાં લેવા જણાવ્યું હતું. નવસારી જિલ્લા આપના પંકજ પટેલ, ગણદેવા ગામના આદિવાસી સમુદાયના અગ્રણી ચંદુભાઈ, રમેશભાઈ, સુનિલભાઈ, ભીખુભાઈ, ઠાકોરભાઈ સહિતનાએ કલેકટર અને ગણદેવી તાલુકા મામલતદારને આવેદન આપી પુનઃ સ્મશાન સ્થાપિત કરવા અપીલ કરી હતી. આવેદનમાં જણાવ્યું કે ગણદેવા ગામના 1445 અને 1285વાળી જમીનમાં 200 કરતા વધુ સમયથી ગામના આદિવાસી સમુદાયનાં લોકોનું સ્મશાન ચાલી આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા અગ્નિદાહની સગડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ લોકફળાથી બેસવા, પાણીની સુવિધા અને વીજળીનું કલેક્શન પણ હતું. છેલ્લા દિવસથી ગામના અમુક તત્વો દ્વારા સ્મશાનભૂમિમાં સગડી તોડી નાંખવામાં આવી હતી. સરકારી યોજનાની બનાવેલ સ્મશાનભૂમિ તોડવામાં આવી અને વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું, પાણીનો હેન્ડપંપ પણ તોડી નાંખવામાં આવ્યો છે. આદિવાસી સમાજના મૃતક વડીલોની સમાધિને પણ નુકસાન કરનાર તત્વો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય અને સ્મશાનભૂમિ પુનઃ સ્થાપિત કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાથી બનાવવામાં આવેલી કૃષ્ણપુરની સ્મશાન ભૂમિની સગડી તોડી પડાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે ગામના લોકોએ હવે આ બાબતે ઝડપથી કાર્યવાહી થાય તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. જો વહેલી તકે કામગીરી ન થાય તો કલેકટર કચેરી સહિત ફરીથી ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે. જરૂર પડ્યે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ અપાય છે. આદિવાસી સમાજની ગૌરવ અને ગરિમાને ઠેસ પહોંચાડતા તત્વો સામે પગલાં લોઆદિવાસી સમાજ અને અનુ.જનજાતિના સમુદાય માટે સમાન રીતે ઉપયોગમાં લેવાતા સ્મશાનમાં અવરોધ કરી ખોટા કેસમાં ધમકી આપનારા સરપંચ સહિત અમુક લોકોને આદિવાસી સમાજનું ગૌરવ અને ગરિમાને ઠેસ પહોંચાડી હોય તેમના વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે ગ્રામજનો સાથે માંગ કરી છે અને રાષ્ટ્રપતિને પણ જાણ કરી છે. > પંકજ પટેલ, અગ્રણી, આદિવાસી સમાજ, દેગામ

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:31 am

પાણી પુરવઠો મળ્યો:છાંયા વિસ્તારનો મેઈન વાલ્વ બગડી જતાં ત્રીજા દિવસે પણ રિપેર થયો નહિ

પોરબંદર છાંયા શહેરની મુખ્ય પાઇપલાઇનનો વનાણા ટોલનાકા પાસે છાંયા વિસ્તારનો મેઈન વાલ્વ બગડ્યો છે જેથી રીપેરીંગ કામ ચાલુ હોવાથી શનિવારે અને રવિવારે છાયા, નવાપરા, સાંદિપની, નરસંગ ટેકરી વિગેરે વિસ્તારોમાં નહિવત પાણી પુરવઠો મળશે તેવું જણાવ્યું હતું, પરંતુ સોમવારે પણ રીપેરીંગ કામ નહિ થતા કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ થયું ન હતું. પોરબંદર છાયા શહેરની મુખ્ય પાઇપાલાઇનનો વનાણા ટોલનાકા પાસે છાયા વિસ્તારનો મેઇન વાલ્વ બગડી જતા, તેનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી તા. 13 અને 14/7ને છાયા, નવાપરા, સાંદિપની, નરસંગ ટેકરી વિગેરે વિસ્તારોમાં નહિવત પાણી પુરવઠો મળશે જેની ગ્રાહકોએ નોંધ લેવા તથા સહકાર આપવા પાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું. બન્ને દિવસ રીપેરીંગ કામ થયું હતું અને સોમવારે પણ રીપેરીંગ કામ પૂર્ણ ન થતાં આવા વિસ્તારોમાં પાણીનો જથ્થો નહિવત આવશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છેકે, સોમવારે જે વિસ્તારમાં પાણીનો વારો હતો તેમાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ કરાયું ન હતું જેથી સ્થાનિકોને પીવાના પાણી વિતરણ ન થતા મુશ્કેલી વેઠવી પડી હતી. અત્રે નોંધનીય છેકે, વાલ્વની કામગીરી માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી વાલ્વ રીપેર થયો ન હોવાથી પાણી વિતરણમાં મુશ્કેલી ઉભી રહી છે. સ્થાનિકોને પીવાનું પાણી વિતરણ ન થતાં મુશ્કેલી વેઠવી પડી

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:30 am

ઉગ્ર માંગ:કુતિયાણા પાલિકાના સફાઇ કર્મચારી 3 માસથી પગારથી વંચિત રહેતા વરસતા વરસાદમાં પ્રતિક ઉપવાસ પર બેઠા

કુતિયાણા નગર પાલિકાના સફાઇ કર્મીઓનો 3 માસથી પગાર થયો નથી. કુલ 40 જેટલા સફાઇ કર્મીના 3 માસના રૂ. 42 લાખ થાય છે. આવા સફાઇ કર્મીઓ 3 માસથી પગારથી વંચિત છે અને નિયમિત પગાર ન થતા આવા કર્મીઓએ આવેદન પાઠવી પગાર ચૂકવી આપવા ઉગ્ર માંગ કરી હતી. ઉપરાંત સફાઇ કર્મીના પ્રાણ પ્રશ્નો જેવાકે, 3 માસનો પગાર ચૂકવવામાં આવે, રોસ્ટરમાં આવેલ સફાઇ કર્મીની પોસ્ટ પર સફાઇ કામ જ કરાવવામાં આવે, કર્મીનો સેટઅપ ભરવામાં આવે, કાયમી સફાઇ કર્મીને એરિયસ ચૂકવવામાં આવે, કાયમી સફાઇ કર્મીને પગાર સુધારવા ઇંક્રીમેન્ટ કરવામાં આવે અને કોર્ટે કાયમી કરવા ચુકાદો આપ્યો છે તેવા કર્મીઓને કાયમી કરવા સહિતના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માંગ કરી છે. આજે સવારે સફાઇ કર્મીઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા ત્યારે વરસાદ પડ્યો હતો. પાલિકા કુતિયાણાના 20 સફાઈ કર્મચારી પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલા છે ત્યારે છાવણીની મુલાકાતે વાલ્મિકી સમાજ રાણાવાવ પ્રમુખ અભિષેકભાઈ ઝાલા ઉપપ્રમુખ જયેશભાઈ આગેવાન અને સફાઈ કર્મચારી યુનિયન રાણાવાવ પણ જોડાયા હતા અને આગામી દિવસમાં ભૂખ હડતાળ થશે તો વાલ્મિકી સમાજ રાણાવાવ પણ તેમાં જોડાશે તેવું જણાવ્યું હતું. સફાઇ કામગીરી બંધ થતા ગંદકી અને રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઉલ્લેખનીય છેકે, કુતિયાણા પાલિકાના સફાઇ કર્મીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ છે. શહેરમાં સફાઇ ન થતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જશે અને રોગચાળો વકરી શકે છે. તસવીર - નાગેશ પરમાર

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:30 am

ભાસ્કર‎ એક્સપોઝ‎:સીઆરઝેડ એનઓસી વિના જ કામ શરૂ કરાયા બાદ કામ 5 મહિનાથી બંધ

નવસારી સીઆરઝેડની એન.ઓ.સી વિના પૂર્ણા ડેમનું કામ શરૂ કરી દેવાયા બાદ એન.ઓ.સી મુદ્દે જ 5 મહિનાથી કામ બંધ કરી તંત્રે પોતાની લાપરવાહીનો પરિચય આપ્યો છે. નવસારીના પૂર્ણા ટાઇડલર ડેમને 20 વર્ષની જહેમત બાદ મંજૂરી મળી અને અંતે એપ્રિલ 2023માં વાજતે ગાજતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજે 110 કરોડના ખર્ચે ડેમની કામગીરી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત એનઓસી મળે તે અગાઉ જ નવેમ્બર-ડિસેમ્બર-202 3ના અરસામાં શરૂ કરી દેવાઈ હતી. જોકે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી કામગીરી જોરમાં ચાલી હતી, બાદમાં ડેમમાંથી માટી કાઢવાનો વિવાદ થતા કામ બંધ કરાયું હતું. આમ તો ઉકત વિવાદ તો અઠવાડિયામાં શમી ગયો પણ ત્યારથી બંધ થયેલ કામ આજે 5 મહિના થવા છતાં શરૂ થયું નથી. આ કામ પાંચ-પાંચ મહિના શા માટે બંધ કરાયું તે બાબત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એનઓસી નહીં આવી તેથી બંધ છે એમ જણાવાતું હતું. દિવ્ય ભાસ્કરે તેની પૃચ્છા કરતા માહિતી મળી કે સીઆરઝેડની એનઓસી બાકી હોય કામ બંધ રખાયું છે અને તે એનઓસીની કાર્યવાહીમાં સમય જાય એમ છે. હવે ચોમાસુ બેસી ગયું હોય એનઓસી આવી જાય તો પણ વધુ કામગીરી થાય એમ નથી. માત્ર ડેમની વોલ સાઇડે જ કામ કરાયાનું બહાનુટાઇડલર ડેમ નદી ઉપર બનાવાય છે અને નદીમાં દરિયાઇ ભરતીની સ્થિતિ, જમીન ધોવાણ વગેરે બાબતો ઉપર થનાર અસરના કારણે પર્યાવરણ સંબંધી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું એન.ઓ.સી. સર્ટીફિકેટ જરૂરી હોય છે. એક ધારણા એ છે કે આ સર્ટીફિકેટ મળે પછી જ કામ શરૂ કરી શકાય, કારણ કે જો એન.ઓ.સી. માટે નેગેટીવ રિપોર્ટ મળે તો ? જોકે સ્થાનિક સૂત્રો કહે છે કે પૂર્ણા ડેમના કેસમાં ડેમ સાઇટે કામ ખાસ કરાયું ન હતું, માત્ર સાઇડે વોલ વગેરે જ કરાયું હતું. જેના માટે એન.ઓ.સી.ની જરૂરિયાત ઓછી છે. 1 કરોડની ગ્રાંટમાં વિલંબથી કામ ખોટકાયું ? મળતી માહિતી મુજબ સી.આર.ઝેડ.ની એનઓસી મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ચેન્નાઇની એજન્સી મારફત ‘સીઆરઝેડ મેપીંગ’નો રિપોર્ટ મેળવવો, જળચર પ્રાણી વગેરેની સ્થિતિ માટે આઇઆઇટી મુંબઇનો રિપોર્ટ મેળવવા ઉપરાંત અન્ય એક એજન્સીનો રિપોર્ટ પણ જરૂરી છે. ઉક્ત રિપોર્ટ બાદ વિવિધ બાબતો ચકાસી સીઆરઝેડ એનઓસી આપે છે. આ એજન્સીને આપવાના ખર્ચ વગેરે માટે 1 કરોડ રૂપિયાની ગ્રાંટ જરૂરી હતી, જે ડેમનું ખાતમુહૂર્ત કરાયું ત્યારે તુરંત મળી ન હોવાની એક વાત બહારી ‌આવી છે. ગ્રાંટમાં વિલંબથી એન.ઓ.સી.ની કામગીરી પાછળ ઠેલાઇ હોવાની વાત પણ છે. NOCની સમસ્યા હતી, હલ થઇ હવે કામગીરી ઝડપથી કરવામાં આવશે પૂર્ણા ડેમનું કામ બંધ થવા પાછળ એક એનઓસી મેળવવાની સમસ્યા હતી, જે હવે હલ થઇ ગઇ છે. ચોમાસામાં થોડુ કામ થશે બાદમાં ઝડપી કામ કરાશે અને થોડા મહિનાઓમાં જ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. > કુંવરજી બા‌વળીયા, મંત્રી, ગુજરાત સરકાર

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:29 am

જાળવણીનો અભાવ કે બેદરકારી:પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારના બગીચામાં બાળકોની રમત ગમતના સાધનો તૂટી ગયા

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં બે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ આ રમત ગમતના સાધનો તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે જેથી અહીં આવતા બાળકો તેમનો ઉપયોગ કરી શકતા નથી. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર પ્લોટ અને જગ્યા ઉપર બગીચા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ સામે પણ પાલિકા દ્વારા લાખોના ખર્ચે બે બગીચા બનાવવામાં આવ્યા હતા જેમાં બેઠક વ્યવસ્થા, બાળકો માટે રમત ગમતના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ આ રમત ગમતના સાધનોમાંથી અમુક સાધનો હાલ તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે જેથી અહીં આવતા બાળકો તેમનો ઉપયોગ કરી શકતા નથી. પીવાના પાણીની સુવિધાનો અભાવ પોરબંદર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ બંને બગીચામાં વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ આ બંને બગીચામાં પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા અહીં આવતા શહેરીજનો અને અહીં વેપાર કરતા વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:29 am

વિકાસના કામોને મંજૂરીની મહોર:પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : 2.85 કરોડના કામોને મંજૂરી મળી

પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 2.85 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં 2 કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી તો 85 લાખના કામોને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં વિવિધ સભ્યો દ્વારા સુચવેલા આર.સી.સી.રોડ, પેવરબ્લોક, કોમ્યુનિટી હોલ સહિતના કામોને મંજૂરી આપી હતી. આ સભામાં કુલ 18 સભ્યોમાંથી 14 સભ્યો હાજર રહ્યા હતા. પોરબંદરના જિલ્લા પંચાયતમાં દર ત્રણ મહીને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજૂરીના વાંકે અનેક કામો અટક્યા હતા આજે પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયતના કુલ 18 સભ્યોમાંથી 3 મહિલા સભ્ય અને એક પૂર્વે કારોબારી ચેરમેન ગેરહાજર રહ્યા હતા તો 14 સભ્યો હાજર રહ્યા હતા.આ સામાન્ય સભામાં વિવિધ વિસ્તારોના સભ્યોએ સૂચવેલા રોડ રસ્તા,પેવરબ્લોક અને કોમ્યુનિટી હોલ કામને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં રૂપિયા 85 લાખના ખર્ચે કુલ 35 જેટલા કામોની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત કચેરી દ્વારા પત્રકારોને સામાન્ય સભાની જાણ ન કરી સામાન્ય રીતે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં દર ત્રણ મહિને આયોજિત સામાન્ય સભાની જાણ પત્રકારોને કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ કારણોસર જિલ્લા પંચાયત કચેરી દ્વારા આયોજિત સામાન્ય સભામાં પત્રકારોને જાણ બહાર યોજી દેવામાં આવે છે. 2 કરોડના નાણાંપંચના કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી પોરબંદરના જિલ્લા પંચાયતમાં ગત વર્ષના કામોની નાણાપંચના કામોની મંજૂરી પણ આપવામાં આવી હતી જિલ્લા પંચાયત કચેરીના ગત વર્ષના 2 કરોડના નાણાપંચના કામને વહીવટી મંજૂરી પણ આ સામાન્ય સભામાં આપવામાં આવી હતી.જેમાં ગ્રામ્ય પંચાયતના રોડ,રસ્તા,પેવરબ્લોક સહિતના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં કુલ 18માંથી 14 સભ્યો હાજર , 3 મહિલા સભ્ય, એક પૂર્વ કારોબારી ચેરમેન ગેરહાજર રહ્યા : ભાસ્કરે વાંચકો માટે મંજૂર થયેલા કામોની યાદી નીચે દર્શાવી છે (1)અડવાણા ગામે સથવારા સમાજના કોમ્યુનિટી હોલનું કામ(5 લાખ ખર્ચે) (2)અમરદળ ગામે ગેટના કામમાં ઘટતી રકમ ફાળવાઈ(1 લાખ રૂપિયા (3)અમરદળ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન કમ્પાઉન્ડ વૉલ ઉંચી લેવાનું કામ ( 2 લાખ રૂપિયા ) (4)અમરદળ સીટ હેઠળ આવતા ગામોમાં સીમેન્ટના બાકડા મુકવા માટે(50 હજાર રૂપિયા) (5)અમરદળ ગામે અનુસૂચિત વિસ્તારમાં કોમ્યુનિટી હોલના ઉપરના ભાગે શેડ બનાવવા કામ(1.50 લાખ રૂપિયા) (6)બખરલા ગામે આવેલ હાઇસ્કૂલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં પેવરબ્લોકનું કામ(5 લાખ રૂપિયા) (7)મોચા ગામે રૂઘાઆતા વારો બહારનો રસ્તો અને મોચા રાજશીભાઈ પરમારના ઘરથી કડછ રોડનું કામ(2.50 લાખ રૂપિયા) (8)નવાગામ ગામે વિહત માતાજીના મંદિર પેવરબ્લોક કામ(1.25 લાખ રૂપિયા) (9)નવાગામ રોડ ઉપર આવેલ મામદેવ મંદિરે પેવરબ્લોક કામ(1.25 લાખ રૂપિયા) (10)માંડવા ગામે ચોકના ચોરામાં પ્લાસ્ટર અને લાદી નાખવાની કામ(1.50 લાખના ખર્ચે) (11)વડારા ગામે શંકર મંદિરમાં પેવરબ્લોકનું કામ(1 લાખ ખર્ચે) (12)ચૌટા સીટ વિસ્તારમાં આવતા ગામોના સિમેન્ટ બાકડા મુકવા(1 લાખના ખર્ચે) (13)કાટવાણા ગામે ભીમભાઈ રાજુભાઇ ખેતર નજીક કોઝવે બનાવવા(1.50 લાખના ખર્ચે) (14)દેગામ સીટ હેઠળ આવતા ગામોમાં સિમેન્ટના બાકડા મુકવા (5 લાખના ખર્ચે) (15)સોઢાણા ગામે વર્તુ નદીના ખાતે પુર સંરક્ષણ દીવાલ બનાવવા(5 લાખના ખર્ચે) (16)ખાગેશ્રી વિસ્તારના પી.એચ સી.સેન્ટરમાં સેલ કાઉન્ટર મશીન લેવા(3 લાખના ખર્ચે) (17)ઈશ્વરીય ગામે એલ.ઇ.ડી.સ્ટિટલાઈટ નાખવાનું કામ(2 લાખના ખર્ચે) (18)બોરડી ગામે કબ્રસ્તાન ફરતે કંપાઉન્ડ વૉલ બનાવવા(1 લાખના ખર્ચે) (19)બોરડી ગામે આદિજાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું કામ(4 લાખના ખર્ચે) (20)કાસાબડ ગામે આંબેડકર ભવન આગળ શેડ બનાવવા(3 લાખના ખર્ચે) (21)સેગરસ ગામે આંબેડકર ભવન આગળ શેડ બનાવવા(2 લાખના ખર્ચે) (22)મૂળમાધવપુર ગામે સબવાહીની માટે ટ્રોલી ખરીદી માટે(5 લાખના ખર્ચે) (23)ઘરસણ ગામે સમસ્ત સમાજ આગળ શેડ બનાવવા (5 લાખના ખર્ચે) (24)મોઢવાડા ગામે રમત ગમતના મેદાન બાજુમાં રૂમ બનાવવું માટે(5 લાખના ખર્ચે) (25)ઓળદર સીટ હેઠળ આવતા ગામોમાં સિમેન્ટની બાકડા મુકવા(3 લાખ ખર્ચે) (26)ગોસા ગામે સતીઆઈ મંદિરની બાજુમાં રૂમ બનાવવા માટે(2 લાખના ખર્ચે) (27)મહિરા ગામે વાછરાડાડા મંદિરની બાજુમાં કંપાઉન્ડ વૉલનું કામ(2 લાખના ખર્ચે) (28)રાણા કંડોરણા સીટ હેઠળ આવતા ગામોમાં સિમેન્ટના બાકડા મુકવા(1.50 લાખના ખર્ચે) 2 કરોડના કામોને વહીવટી મજૂરી અને 85 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:28 am

શોધખોળ હાથ ધરાઈ:વડત્રા ગામની સ્કૂલના શિક્ષકનો મૃતદેહ ગોસા પાસેથી મળી આવ્યો

ખંભાળીયાના વડત્રા ગામની સરકારી સ્કૂલના શિક્ષક શનિવારે તેમના ઘરેથી કોઈ કારણોસર ઘરેથી બાઇક લઈને નીકળી ગયા હતા અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે તેમના મોબાઇલ લોકેશન આધારે આ શિક્ષકનો મૃતદેહ ગોસા નજીકથી મળી આવ્યો હતો.આ ઘટના બાદ શિક્ષકના મૃતદેહ પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા નજીક આવેલ વડત્રા ગામની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા સુનિલકુમાર રામચંદ્ર પરમાર અને તેમના પત્ની નવી મોવણ ગામે રહેતા હતા ત્યારે આ શિક્ષક શનિવારે ઘરે કોઈને જાણ કર્યા વગર બાઇક લઈને નીકળી ગયા હતા જે બાબતે તેમની પત્નીએ પરિવારના સભ્યો તેમજ પોલીસને જાણ કરી હતી ત્યારે આ શિક્ષકે તેમનો મોબાઈલ ગોસા પુલ પાસે રાખી દીધો હતો જે મોબાઈલના લોકેશન આધારે પોલીસે સ્થળ પર પહોંચતા આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના બાદ પોલીસે મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:27 am

અકસ્માત:રાણાકંડોરણા નજીક બાઇક ચાલકે આધેડને હડફેટે લીધા

પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર રાણા કંડોરણા નજીક હાઇવેની સાઈડ પગપાળા જતા એક આધેડને પાછળથી એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર બેફાર્મ બની ચાલતા વાહનચાલકો અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવે છે. રાણા કંડોરણા રામદેવપીરના આશ્રમ ખાતે રહેતા નાનજીભાઈ સામતભાઈ પરમાર(ઉ.55) નામના આધેડ રાજકોટ હાઇવે ઉપર પગપાળા જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં આધેડને પગના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આધેડ પોરબંદર દવા લેવા આવતા હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:27 am

રજૂઆત:પોરબંદરની ખાનગી શાળાઓને સરકારના નિયમોનું ભાન કરાવો : વિદ્યાર્થી આગેવાન

પોરબંદરમાં અનેક શૈક્ષણિક સંકુલો છે, કેટલીક સંસ્થાઓમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આવી સંસ્થાઓ મનમાની કરી રહી છે. આવી સંસ્થાઓને સરકારના નિયમોનું ભાન કરાવવામાં આવે તે અંગે વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સાથે 2 સ્કુલ બેગ સાથે રાખી અધિકારીના ટેબલ પર રાખી વજન ચેક કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા બાળકોને ભાર વગરના ભણતર જાહેરાત કરી તેમના નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ પોરબંદરની કેટલીક ખાનગી સ્કુલમાં આ નિયમો માત્ર તેમના કાગળો પર હોય તેમ દેખાઇ રહ્યું છે. પ્રાથમિક શાળામાં નાના-નાના ભૂલકાઓ સ્કુલે નહિ પરંતુ થેલો ખભે મૂકી મજદૂર બની જતા હોય છે. બેગનો વજન 7 કિલો જેટલો હોય છે અને આ બેગ લઈ પગથિયાં ચડતા હોય છે. પોરબંદરની ઘણી ખાનગી સ્કુલમાં વાલીઓને સ્પેશ્યલ પ્રકાશનની બુકો લેવા માટે કહેવામાં આવી રહ્યું છે, તે પણ નિયત કરાયેલી સ્ટેશનરીઓ માથી, આવી ખાનગી શાળાઓ સામે પગલાં લેવા માટે પ્રાથમિક શિક્ષણ અધિકારીને કિશન રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:26 am

અકસ્માતની ભિતી:નવસારી રેલવે ઓવરબ્રિજના પ્રવેશદ્વારે જ પાર્કિંગ જોખમી

નવસારી રેલવે સ્ટેશન પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજની પૂર્વ તરફ પ્રવેશદ્વારે લોકો પોતાની કાર પાર્ક કરી રહ્યાં છે. જેના કારણે ઓવરબ્રિજ પર જનારા લોકો પર અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, ઓવરબ્રિજની બાજુમાં જ હોસ્પિટલ આવેલ છે તથા મોલમાં નીચે ખાણીપીણીની લારીઓ હોય ત્યાં આવતા લોકો પોતાની કાર ઓવરબ્રિજ પાસે જ પાર્ક કરીને જાય છે. જે બાબતે તંત્રએ ધ્યાન આપીને વાહન પાર્કિંગ પર મનાઇ ફરમાવવી અનિવાર્ય બની છે. નવસારીના રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રિજના પૂર્વ ભાગે લોકો પોતાના વાહન પાર્ક કરીને અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. ઓવરબ્રિજની બાજુમાં જ આવેલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓ તથા તેમના સગા-સબંધીઓ અને પાસે આવેલા મોલમાં ખાણીપીણી તથા નાસ્તાની લારીઓ હોય લોકો બ્રિજના પ્રવેશદ્વારે જ વાહનો પાર્ક કરી જાય છે. જે અકસ્માતને નોતરી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:26 am

જુગાર પર દરડો:પાતા ગામની સીમમાંથી જુગાર રમતા 3 ઝડપાયા

પોરબંદર જિલ્લાના પાતા ગામની ડેલાવળ સીમ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે ગઇકાલે રાત્રીના સમયે પોલીસે દરોડો પાડીને 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂ. 21740 નો મુદામાલ કબજે કર્યો છે. પોરબંદર તાલુકાના પાતા ગામની ડેલાવળ સીમ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે ગઇકાલે રાત્રીના સમયે પોલીસે દરોડા પાડીને કારા ટપુભાઇ કડછા, લખમણ બોઘાભાઇ કડછા અને મહેશ દેવજીભાઇ ગઢીયા નામના શખ્સોને ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂ. 21740 કબજે કર્યા હતા. પોલીસે આ ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુન્હો નોંધીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના હે.કો. એચ. એસ. મોઢવાડીયાએ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:26 am

સગીરાને મારી નાખવાની ધમકી આપતા રાવ:સગીરા સાથે બળજબરીથી શખ્સે શરીર સંબંધ બાંધ્યો

પોરબંદર જિલ્લાના માધવપુર ગામમા રહેતી એક સગીરાના ઘરમાં શીલ ગામનો એક શખ્સ સગીરાના ઘરમાં ઘૂસીને તથા તેની મરજી વિરુદ્ધ 1 થી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હતો અને સગીરાને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. માધવપુર ગામમાં રહેતી એક સગીરા ઉ.વ. 17 વર્ષનીને શીલ ગામે રહેતો કપીલ ચુડાસમા નામનો શખ્સ ગત તા. 15-04-2024 થી તા. 30-04-2024 દરમિયાન સગીરાના ઘરમાં પ્રવેશ કરીને તથા સગીરાને ડરાવી ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. કપીલ ચુડાસમાએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કપીલ ચુડાસમા સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ સર્કલના PI એસ. એસ. ગામેતીએ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:25 am

લોકોના કામો ટલ્લે:મનપાના એક માત્ર ઇજનેર સબ બંદર કા વેપારી, લોકોના કામો ટલ્લે

વિપક્ષી કોર્પોરેટર લલીત પણસારાએ કમિશનર ડો. ઓમ પ્રકાશને સંબોધીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, મનપાના કાર્યપાલક ઇજનેર પાસે વોટર વર્કસ શાખા, વાહન શાખા, અમૃત પ્રોજેક્ટ 1 અને 2, સેનીટેશન બાબતના કચરાને લગતો પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટર યોજના, નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશન અને જૂનાગઢમાં નંખાતી પાણીની પાઇપ લાઇનના દેખરેખથી માંડીને પ્રોજેક્ટ સાકાર કરવાની જવાબદારી છે.આ ઉપરાંત શહેરમાં આવેલ હસ્નાપુર અને આણંદપુર ડેમ અને તેને આધારિત બે મોટા ફિલ્ટર પ્લાન્ટ અને ત્યાર બાદ 10થી વધુ પમ્પીંગ સ્ટેશનોની અને શહેરમાં પાણી વિતરણ, લાઇન રીપેરીંગ સહિતની જવાબદારી છે.આમ, અેક કરતા વધુ જવાબદારીના કારણે કામગીરી ટલ્લે ચડી જાય છેઅધિકારી મોટા પ્રોજેક્ટોમાં રોકાય અને બ્યુટિફિકેશનની કામગીરીમાં ગૂંચવાયેલા રહે તેમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામો અટકી જાય છેે અથવા ખોરંભે પડી જાય છે. 700 કરોડના ભૂગર્ભ ગટરના કામમાં યોગ્ય દેખરેખના અભાવે અત્યારથી ગટરો ઉભરાવા લાગી છે. ત્યારે હવે 31 જૂલાઇએ ચાલુ બોડીનુંવિસર્જન થાય પછી સરકારમાંથી લાવીને કે ભરતી કરીને સારા ટેક્નિકલ ઇજનેરોને આ તમામ પ્રોજેક્ટો ઉપર દેખરેખ રાખવા માટેની જવાબદારી સોંપવી જોઇએ.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:25 am

રજૂઆત:વોર્ડ નં.2ના કોર્પોરેટર કોઇને દેખાય તો, માર્ગ પર રેલાતા ટોઇલેટના દૂષિત પાણી જોવા મોકલજો

શહેરના જોષીપરામાં રોડના કામમાં ખાડા ખોદીને જતા રહ્યા છે જે યોગ્ય રીતે બુરાણ કરાયું નથી. સાથે કેટલાક પરિવારોની ખાનગી પ્લોટમાં નિકળતી ટોઇલેટની ગટરને પણ નુકસાન કરાયું છે. પરિણામે આ ટોઇલેટના ગંદા પાણી આદિત્યનગર મેઇન રોડથી માધવ પેલેસ સુધીના રસ્તા પર ફરી વળ્યા હોય ગંદકીથી સ્થાનિક લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નિકળવાની સ્થાનિક લોકોમાં દહેશત છે.ગંદકી અને રસ્તાના ખાડાના કારણે સ્કૂલ વાન પણ આ વિસ્તારમાં આવતી નથી અને રિક્ષા જેવા વાહનો પણ આવતા ન હોય સિનીયર સિટીઝનો, વૃદ્ધો, મહિલાઓને હાલાકી વધી રહી છે. આ અંગે અનેક સ્થળોએ રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે જયદિપ મકવાણા અને રાજુ વ્યાસેે જણાવ્યું હતું કે, લોકોએ સ્થાનિક કોર્પોરેટરને, કોર્પોરેશનમાં અને સીએમઓમાં લેખીત રજૂઆત કરી છે તેમછતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે હવે આ મામલે ફરિયાદ કરવી કોને? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:24 am

કાળવા ચોકથી ગાંધી ચોક સુધી પદયાત્રા:શિક્ષણના વ્યાપારીકરણ સામે આપ'નો આજે શહેરમાં વિરોધ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણ કરી દઈને ખાનગી શાળા કોલેજોની ફીમાં કરેલા કમ્મર તોડ વધારાને લઈને જુનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે મંગળવારે કાળવા ચોકથી ગાંધી ચોક સુધી પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની શાળા કોલેજોમાં શિક્ષણ ફી મોંઘી કરી દેવામાં આવતા સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો મુશ્કેલ બની રહ્યો હોવાની ચિંતા આમ આદમી પાર્ટી દ્વારા સેવવામાં આવી છે. જુનાગઢ શહેર આપના પ્રમુખ તુષાર સોજીત્રાએ આ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખાનગી શાળાઓની લૂંટ રોકવા માટે બનાવેલી ફી નિયંત્રણ કમિટી (FRC) ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે. બીજી તરફ મધ્યમ વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા માટે સરકારે મેડિકલ ફીમાં પણ મોટો વધારો કર્યો છે. જેની સામે વિરોધ કરવા શહેરમાં પદયાત્રાનું આયોજન કરી સરકારને જગાડવા પ્રયાસ કરાશે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:24 am

બાંધકામને નોટીસ:કોમર્શિયલ બાંધકામ કરવા રસ્તાની માપસાઇઝ પણ ખોટી દેખાડી દીધી

જૂનાગઢની ગિરનાર સોસાયટીના ખૂણા ઉપર અેક 4 માળનું કોમર્શીયલ કોમ્પલેક્ષ બની રહ્યું છે. જેમાં ઇ પોર્ટલ પરથી મેળવવામાં અાવેલી મંજૂરીમાં રોડનું માપ 7.50 મીટર દર્શાવાયું હતું. હકીકતે અે રોડ 5.80 મીટર પહોળો છે. અાથી સોસાયટીમાં રહેતા સંધ્યાબેન રમેશભાઇ રૂપારેલીયાઅે મનપા અને રેરામાં અા અંગેની ફરિયાદ કરી છે. અા ફરિયાદને પગલે મનપાના વોર્ડ ઇજનેરે સ્થળ તપાસ કરી હતી. જેમાં પશ્ચિમ દિશાઅે જે રોડ 7.50 મીટરનો દર્શાવ્યો છે અે હકીકતે 5.80 મીટરનો હોવાનું માલુમ પડ્યું હતું. અે રીતે મંજૂર થયેલા પ્લાનમાં દક્ષિણ 51.99 મીટર દર્શાવ્યું છે. જે હકીકતે 48.80 મીટર હોવાનું સામે અાવ્યું છે. અા રિપોર્ટના અાધારે મ્યુનિસિપલ કમિશનરે બિલ્ડર કેયુરભાઇ વિઠ્ઠલાણીને નોટીસ અાપી મનપાને ગેરમાર્ગે દોરી અાગામી નિર્ણય ન થાય ત્યાં સુધી બાંધકામ બંધ રાખવા સામે બાંધકામ મંજૂરી રદ શા માટે ન કરવી અેની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:23 am

ચાતુર્માસનો પ્રારંભ:બુધવારે દેવશયની એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ

બુધવારે અષાઢ શુક્લ 11ને દેવશયની-રવિનારાયણ (દેવપોઢી) કે પ્રબોધોત્સવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થશે. 12 નવેમ્બરે ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો વર્જ્ય ગણાયાં છે. દરમિયાન 5 વર્ષથી 12-13 વર્ષની બાળાઓ અને કુંવારિયાઓના ગૌરી-મોળાકત વ્રતનો વિધિવત્ પ્રારંભ થશે. આ વ્રત 5 દિવસ સુધી કરાતું હોય છે. ભાવિ ભરથાર ખૂબ જ સુંદર, સુશીલ, ગુણવાન, ધનવાન મળે તેમ જ તેમનું લગ્નજીવન ખૂબ જ સારું બને તે હેતુથી આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં માતા પાર્વતીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. બાલિકાઓ માટીના વાસણ ભરીને ઘઉંના જવારા ઉગાડે છે અને 5 દિવસ સુધી પૂજા કરતી હોય છે. રૂનો હાર બનાવી જવારાને પહેરાવે છે. આ વ્રતને અલુણા વ્રત કહે છે. આ વ્રત કરનાર માટે બાલિકાઓ મીઠા વગરની મોળી કોઈ વસ્તુ ખાઈને એકટાણું કરે છે, જેમાં ઘઉંની રોટલી, પૂરી બનાવી ખીર સાથે ખાતી જોવા મળે છે કે ગળ્યો મુરબ્બો ખાતી જોવા મળે છે. સાથે-સાથે કાજુ, બદામ, દ્રાક્ષ કે ફળ-ફળાદિ લઈને ચા-દૂધ-કોફી લઈને વ્રત પૂર્ણ કરે છે. પાંચમા દિવસે રાત્રે જાગરણ કરે છે જે જાગરણ 21 જુલાઈએ કરવાનું રહેશે. આ વ્રત પાંચમા કે સાતમા વર્ષે વિધિવત ઉજવણી કરવામાં આવે છે, જેમાં એકી સંખ્યામાં બાલિકાઓને મનગમતું ભોજન કરાવી તેમજ વાસણ અર્પણ કરી તેનું ઉજવણું સંપન્ન કરવામાં આવે છે. આ અંગેની વિશેષ માહિતી સ્કંદ પુરાણમાં આપણા પૂર્વાચાર્યોએ આલેખેલી છે. આગામી જયાપાર્વતી વ્રત 19 જુલાઈએ થશે અને તેનું જાગરણ 23 મીએ કરાશે. ચાતુર્માસ પછીનાં લગ્નનાં શુભ મુહૂર્ત નવેમ્બર : તા. 12, 13, 16, 17, 18, 23, 25 અને 27 ડિસેમ્બર : તા. 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 15

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:23 am

રજૂઆત:કોઇ પણ બ્રિજ નથી જોઇતાં, રેલવે લાઇન જ કાઢી નાંખો

જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ શહેરમાંથી પસાર થતા રેલવે ફાટકો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાના આયોજન થઇ રહ્યા છે. જોકે,આ આયોજન સામે પણ વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે માંગનાથ રોડ ક્લોથ એન્ડ રેડીમેડ અેસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ જણાવ્યું છે કે,શહેરમાં ઓવરબ્રિજ કે અન્ડર બ્રિજની જરૂર નથી. તેને બદલે શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનને કાઢી નાંખવામાં આવે અને ગ્રોફેડ પાસેની જમીનમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવે તે જરૂરી છે. આવું થશે તો એકતો શહેરમાંથી પસાર થતા રેલવે ફાટકો નીકળી જશે જેથી વારંવાર બંધ થતા રેલવે ફાટકોના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે. વળી, રેલવે લાઇન નીકળી જતા આ જગ્યાએ રોડ બનાવી નાંખવામાં આવે તો રસ્તા પહોળો થઇ જતા ટ્રાફિકની સમસ્યા આપોઆપ ઓછી થઇ જશે.વિકાસ થાય તેનો વિરોધ નથી પરંતુ વિકાસના નામે એવી કામગીરી થાય જેથી લોકોની હેરાનગતિ વધે છે તો તેનો વિરોધ કરવામાં આવે છે. પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ અને બે વર્ષ કરતા વધુ સમય હેરાન થયા બાદ પણ સમસ્યા શહેરના જોષીપરા રેલવે ક્રોસિંગ માટે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેવી દહેશત સાથે વેપારીઅોએ એસપીને રજૂઆત કરી છે. સાથે આ મામલે કમિશનરને સાચી હકિકતથી વાકેેફ કરવા એસપીને અનુરોધ કરાયો છે. પત્રમાં જણાવાયું છે કે,પિલર પર ઓવરબ્રિજ બનશે. પિલરના કારણે રોડની 60 ફૂટની પહોળાઇ છે તે માત્ર 30 ફૂટની થઇ જશે ઉપરાંત ફૂટપાથ મળશે નહિ. માત્ર બન્ને બાજુ 5 મિટરનો સર્વિસ રોડ મળશે. ગાંધીચોકથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીનો આ એકમાત્ર ફોરલેન રોડ છે. આ રોડના સેન્ટરમાંથી ઓવરબ્રિજ પસાર થતો હોવાથી લોકોને સર્વિસ રોડ પરથી પસાર થવું પડશે અને તેના કારણે કાયમી ટ્રાફિકની સમસ્યા વધશે. જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે સંઘર્ષ વધશે અને પોલીસ માટે પણ કાયમી ટ્રાફિકનું શિરદર્દ રહેશે. ત્યારે આપ આ તમામ બાબતથી કમિશનરને વાકેફ કરો જેથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી નિવારી શકાય. જોષીપરાના રેલવે અોવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા વધશે: વેપારીઓની SPને રજૂઆત તમામ બાબતથી કમિશનરને વાકેફ કરવા પણ કહ્યું

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:22 am

કાર્યવાહી:બાબરિયાધારમાં દેશીદારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

અમરેલી જિલ્લામાં મોડી રાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો હતો. રાજુલાના બાબરીયાધાર ગામ નજીક દેશી દારૂની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા પીએસઆઇ ડી.વી.ચિત્રાની ટીમ મોડી રાતે દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી હતી. બાબરીયાધારમાંથી સ્ટેટ મોનીટરીંગ ટીમે રેઈડ કરતા દેશી દારૂ 25 લીટર અને દેશી દારૂ બનાવવા માટેનો આથો 1500 લીટર કિંમત 3,000 સાધનો સહિત વાહન બાઇક મોબાઈલ મળી કુલ રૂપિયા 41,270નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી ગુનો નોંધ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે અનિલ લાખાભાઈ આસોદરને દબોચી લીધો હતો. ઉપરાંત જોરૂ લાખાભાઈ આસોદરાને ફરાર થતા તેમના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.મોડી રાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રાજુલાના બાબરીયાધાર ગામ નજીકથી 25 લીટર દેશી દારૂ ઉપર દરોડો પાડતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જો કે હાલ ગુન્હો નોંધાયો છે આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:21 am

અકસ્માત:ધારાનાનેસના વીર શહીદનું વીરગતિ સન્માન લેવા ગયેલી બહેનનું અકસ્માતમાં નિધન

રાજુલાના ધારાનાનેસ ગામે બે માસ પૂર્વે રવિરાજભાઈ મનુભાઈ ધાખડા શહીદ થયા હતા. રાજકોટ ખાતે વીર શહીદનું વીરગતિ સન્માન લેવા ગયેલી બહેનનું અકસ્માતમાં નિધન થયું હતું. ચલાલાના વાવડી નજીક કાર પલટી મારી જતા મોત નિપજ્યું હતું. ઉપરાંત કારમાં સવાર અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચી હતી. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શહીદોના પરિવારના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે કાર્યક્રમમાં ભવનુભાઈ રાણીંગભાઈ ધાખડા, નીતાબેન મનુભાઈ વાળા, વંદનાબેન ધાખડા, જયેન્દ્ર મનુભાઈ વાળા અને રણજીતભાઈ આલકુંભાઈ ધાખડા કાર નંબર જી.જે.1.કે.ડી-2803 લઈ રાજકોટ હેમુગઢવી હોલ ખાતે સન્માન લેવા માટે ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખત ચલાલાના વાવડી નજીક પેટ્રોલપંપ આગળ મોટા વાહનની લાઈટ પડતા કાર ખાળીયામાં પલટી મારી હતી. આ ઘટનામાં કારમાં સવાર રવિરાજભાઈ ધાખડા, ભવનુભાઈ અને વંદનાબેન તથા ત્રણ વર્ષિય બાળક જયેન્દ્રભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ નીતાબેન મનુભાઈ વાળાનું મોત નિપજ્યું હતું. આ અંગે વાવડીના મનુભાઈ મુળુભાઈ વાળાએ રણજીત આલકુભાઈ ધાખડા સામે ચલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:21 am

સર્વેક્ષણ:તળાવમાં કેમીકલ યુક્ત પાણી નાખવા મુદે સર્વે

ગાંધીધામ તાલુક હજુ થોડા દિવસો અગાઉજ મીઠીરોહરના તળાવમાં હજારો માછલીઓ મરી ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા, જે પ્રશ્ન અનુતર રહ્યો છે ત્યારે પડાણાના તળાવમાં પ્રદુષણ હોવાનો કોંગ્રેસે ઉઠાવેલા જવાબમાં ગ્રામ પંચાયતે તળાવમાં શુદ્ધ પાણી હોવાનું અને ઘણા લોકો પીવા માટે પણ ઉપયોગમાં લેતા હોવાનું સરપંચ ઉતમભાઈ આહીરે જણાવ્યું હતું. સરપંચે જણાવ્યું કે તળાવમાં પ્રદુષણ નથી, આ સાથે જે નદીની વાત છે, તેને લઈને સર્વેક્ષણ કરાઈ રહ્યું છે. નોંધવુ રહ્યું કે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કેમીકલ યુક્ત પાણી ઠલવાતું હોવાના પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. જે સામે સર્વે કરવામાં આવ્યો હોવાનું સરપંચે જણાવીને તેને ટુંક સમયમાં જાહેર કરાશે તેમ કહેવાયું હતું. નોંધપાત્ર છે કે ગાંધીધામમાં મોટા પાયે ઔધોગિક વિકાસ થઈ રહ્યો છે. ત્યારે અહીના પ્રાકૃતિક સંશાધનો પર તેની અસર ન વર્તાય તે અત્યંત આવશ્યક છે. ગુજરાત પ્રદુષણ બોર્ડ નોટિસો પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ મેળવી લે છે ત્યારે જમીની સ્તરની હકીકતો સામે આવવી જરૂરી છે. ગાંધીધામ સંકુલમાં પ્રદૂષણની પરીસ્થિતિ અંગે વ્યાપક રૂપે તપાસ હાથ ધરવામાં આવે તે સ્થાનિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આવશ્યક બન્યું છે. ગાંધીધામમાં આંખોમાં બળતરાનો કેસ ફેંકાઈ ગયોગાંધીધામમાં ગત વર્ષોમાં સેક્ટર 5 વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં લોકોની આંખોમાં બળતરા, નાકમાંથી પાણી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ પદવા જેવી ઘટનાઓ સામે આવી હતી. જે અંગે પ્રદુષણ વિભાગે તપાસ કર્યા બાદ પણ કાંઈ સમાધાન આવ્યું નહતું, તેમજ આ માટે જવાબદાર કારણોને પણ શોધવામાં તેવો નિષ્ફળ ગયા હતા. જ્યારે કે સેક્ટર એરીયામાં સેંકડો લોકોએ દિવસો સુધી આનો અનુભવ કર્યો હતો. પ્રદુષણ અંગે તપાસ શુન્યતા મોટી સમસ્યાઓ પેદા કરશેગાંધીધામ અને આસપડોસના વિસ્તારોમાં ઉધોગોની સંખ્યા વધવા પામી છે ત્યારે પ્રદુષણ વિભાગની તપાસ શુન્યતા વિવિધ સમસ્યાઓની જનક બની શકે તેમ છે. રાત્રીના ભાગે ધમધમતી ઘણી ફેક્ટરીઓનો ધુમાડો ઓકે છે, જે આસપડોસના ગામો ઉપરથી પસાર થઈને જાય છે. ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં સવારે કાળી રજ છત પર આંગણાઓમાં પથરાઈ જતી હોવાનું ઘણા લોકોએ નોંધ્યુ છે. જે અંગે પણ કોઇ તપાસ થઈ નથી કે ઓન રેકર્ડ પણ બાબત આવી નથી. ત્યારે આ પ્રકારની ઘટનાઓની અવગણવી ભવિષ્ય માટે મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:20 am

ફરિયાદ:લાઠીમાં ટ્યુશનથી ઘરે જતી સગીરાની યુવકે છેડતી કરી

લાઠીમા રહેતી એક સગીરા ટયુશનમાથી સાયકલ લઇ ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામા એક યુવકે તેને મોબાઇલ આપવાની કોશિષ કરી હાથ પકડી છેડતી કરતા આ બારામા તેની સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. સગીરાની છેડતીની આ ઘટના લાઠીમા બની હતી. અહી રહેતી એક 12 વર્ષિય સગીરા ટયુશનમાથી સાયકલ લઇને પોતાના ઘર તરફ જઇ રહી હતી. આ દરમિયાન રસ્તામા રોહિત અશોકભાઇ સોલંકી નામના યુવકે તેને રસ્તામા ઉભી રાખી હતી. આ શખ્સે તેને મોબાઇલ આપવાની કોશિષ કરી હતી અને હાથ પકડી છેડતી કરી પીછો કરી જાતીય સતામણી કરી હતી. બનાવ અંગે સગીરાના વાલીએ યુવક સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઇ વી.એમ.કોલાદરા ચલાવી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:20 am

ઝેરી અસર:સુખપુરમાં ભુલથી ઝેરી દવા પી લેતા વૃદ્ધાનું મોત

ધારી તાલુકાના સુખપુરમા રહેતા એક વૃધ્ધા પોતાના ઘરે હતા ત્યારે ભુલથી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યાં હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. સુખપુરમા રહેતા સવિતાબેન નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.76) નામના વૃધ્ધાને ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની બિમારી હોય જેથી દવા ચાલુ હતી. તેમને જમીને પેટમા બળતરા થતા તેમણે ડાયાબીટીસની દવાના બદલે ભુલથી ઘરમા રાખેલ ઘઉંમા નાખવાની ઝેરી દવા પી લેતા તેમને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. વૃધ્ધાને સારવાર માટે તાબડતોબ દવાખાને ખસેડવામા આવ્યા હતા. જો કે અહી સારવારમા તેમનુ મોત થયુ હતુ. બનાવ અંગે કાળુભાઇ નાનજીભાઇ ચૌહાણે ધારી પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એસ.બી.સૈયદ ચલાવી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:19 am

કેમ્પ યોજાયો:મતિરાળામાં જિલ્લાકક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લાઠીના મતિરાળામાં જિલ્લાકક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અહીં સ્થળ પર લોકોને આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ અને દાખલાઓની કામગીરી કરી આપવામાં આવી હતી. ઉપરાંત લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની તમામ સીટ દીઠ પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મતિરાળા ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અહીં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી પી. બી. પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, મેલેરિયા અધિકારી ડો. એ. કે. સીંગ સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોને આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી.તેમજ કેમ્પમાં સ્થળ પર જ સ્તન કેન્સર, બીપી, ડાયાબિટીસ વિગેરે રોગોની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અપડેટેશન તથા વિવિધ દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. આયુર્વેદ દવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ ડો. સાગર પરવડિયા, ડો. હરિવદન પરમાર, ડો. રેખા સરતેજા, ધર્મેશભાઈ વાળા અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા આશાવર્કરોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:19 am

રજુઆત:હનુમાનગાળા જગ્યા ખાલી કરવાના પ્રશ્ને વનમંત્રીને રજુઆત

ખાંભા નજીક પહાડો અને જંગલની વચ્ચે આવેલ હનુમાનગાળા જગ્યામા ભારદ્વાજ આશ્રમ આવેલો છે. તાજેતરમા આ જગ્યાના મહંતને વનવિભાગ દ્વારા મૌખિક સુચના આપી જગ્યા ખાલી કરવાનુ જણાવાતા શ્રધ્ધાળુઓએ ભારે વિરોધ કર્યો હતો અને ખાંભા બંધનુ એલાન આપી આવેદન પાઠવી રજુઆત કરી હતી. ત્યારે આ પ્રશ્ને ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા પણ વનમંત્રીને રજુઆત કરવામા આવી છે. રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી મુળુભાઈ બેરાને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમા આસ્થા સ્વરૂપ હનુમાનગાળાનુ આ સ્થળ છે. જ્યાં વન વિભાગ દ્વારા મહંતને જગ્યા ખાલી કરવાનુ કહેતા ભાવિકોમાં ભારે રોષ છે. ત્યારે ભાવિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ધાર્મિક સ્થળ પર વન વિભાગ દ્વારા નિયમો છૂટછાટવાળા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેના અનુસંધાને મંત્રી દ્વારા પણ ભાવિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી થાય તે માટે ખાતરી આપવામા આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:18 am

સર્ટિફિકેટ એનાયત કરાયા:અમરેલીમાં દિપક હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહ યોજાયો

અમરેલીમા સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, રૂપાયતન સંચાલિત દીપક હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી અભિવાદન સમારોહનુ આયોજન કરવામા આવ્યું હતુ. અહી ધોરણ 10 અને 12ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મનોહરસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. અહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને દીપ રત્ન, કલારત્ન, ખેલરત્ન, રજતચંદ્રક આપી અભિવાદિત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 10, 12મા એ-1,એ-2 અને બી-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર છાત્રોને સન્માનિત કરાયા હતા. ધોરણ 12ના ટોપટેન વિદ્યાર્થીઓને રસીકભાઇ શાહ સ્કોલરશીપના ચેક અર્પણ કરવામા આવ્યા હતા. તેમજ બોર્ડની પરીક્ષામા સર્વોતમ ગુણાંક પ્રાપ્ત કરનાર છાત્રોને શારદાબેન કિશોરભાઇ મહેતા પુરસ્કાર વિશેષ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રજનીભાઇ મહેતા, આર.એલ.કાચા, કમલેશભાઇ જોષી, ધર્મિષ્ઠાબેન મહેતા, મૃણાલભાઇ ગાંધી, દર્શનબેન ગાંધી, ચંદ્રેશભાઇ ધોળકીયા, અમીતભાઇ ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:18 am

વાતાવરણ:કચ્છના 4 તાલુકામાં અડધાથી દોઢ ઇંચ મેઘમહેર

કચ્છમાં ચાર દિવસ વિરામ બાદ મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હતી અને ભુજમાં અડધો કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મુન્દ્રા અને અંજારમાં દોઢ તો નખત્રાણામાં અડધો ઇંચ મેઘ મહેર થઇ હતી. રાપર અને નખત્રાણામાં ઝાપટા રૂપે હાજરી જોવા મળી હતી તો કેટલાક ગ્રામ્ય વિસ્તારો પણ ઝાપટાથી ભીંજાયા હતા. 37.3 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ બનેલાં ભુજમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો. સાંજે 7 વાગ્યા બાદ માહોલ એકાએક ગોરંભાયો હતો અને મેઘરાજાએ અડધા કલાકમાં 34 મીલિ મીટર જેટલી ઝડી વરસાવી હતી.એકાએક વરસેલા વરસાદથી ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી બાજુ શહેરીજનોએ ન્હાવાની મોજ પણ માણી હતી.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 7:18 am

ધોધમાર વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, ઉમરપાડામાં આભ ફાટ્યું, ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર, ગીરાધોધનો અદભૂત વીડિયો

180થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ગતરોજ રાજ્યના 180થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 4 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આણંદ શહેરમાં પણ માત્ર અઢી ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં કેડસમા પાણી જોવા મળ્યા હતા. 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આટલા જિલ્લામાં રેડ એલર્ટ વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી સારા વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે. જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. ઔડા અને AMCના અણઘણ આયોજનના કારણે લોકો હેરાન ઔડા અને કોર્પોરેશનના અણઘણ આયોજનના કારણે બોપલ-ઘુમા,સનાથલ, અને શેલા-શીલજના 5 લાખ જેટલા લોકો ટ્રાફિક, ધૂળ અને ઉભરાતી ગટરના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઠેર -ઠેર ગટરનું ગંદુ પાણી અને તેની દુર્ગંધના કારણે સ્થાનિકો ત્રાસી ગયા છે. તો રોડ પર ભુવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા પશ્ચિમ વિસ્તારમાં જ્યાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે એવા સનાથલ, શેલા, બોપલ-ઘુમાની હાલની સ્થિતિનો દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં 50 લાખથી લઈ 2 કરોડના ઘરમાં લક્ઝુરિયસ ઘરોમાં રહેતા લોકોને ગટરની દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.આ ઉપરાંત રોડ બંધ હોવાથી એક કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત ભારે વરસાદથી અમદાવાદમાં સોમવારે બપોરે વિઝિબિલિટી ફક્ત એક કિલોમીટર જેટલી રહી હતી. જેના કારણે ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા અનેક ફ્લાઈટ અન્ય શહેરોમાંથી આવીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે આકાશમાં ચક્કર લગાવતી રહી.. જ્યારે વરસાદને કારણે ફ્લાઈટના ટેકઓફમાં પણ વિલંબ થયો હતો. અમદાવાદ શહેરમાં બપોરના 12:00 વાગ્યા બાદ કાળા દિમાગ વાદળો છવાઈ જવાની સાથે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 71 ફ્લાઈટ તેના નિયત સમય કરતા લેટ ટેક ઓફ થઈ હતી. જ્યારે 46 ફ્લાઈટ વિલંબ બાદ લેન્ડ થઈ હતી. ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો, 5 બાળકના મોત છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનાં સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. અને અત્યાર સુધી તેનાથી 5 બાળકોના મોત થયા છે. આમ તો આ વાયરસ બાળકો માટે જીવલેણ સાબિત થતો હોય છે. પરંતુ સામે આવેલી વિગતો અનુસાર આ વાયરસથી વૃદ્ધોના જીવને પણ જોખમ છે. આપને એ પણ જણાવી દઈએ કે આ વાયરસ માટીની માખી કરડવાથી ફેંલાય છે. જે ચોમાસાની સીઝનમાં જોવા મળે છે. રાજ્યમાં અત્યારે 12 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંના સેમ્પલ પૂણે લેબ ખાતે મોકલાયા છે.જો કે સરકારે પણ રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવા જણાવ્યું છે. અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા અનુરોધ કર્યો છે. 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ સુરતની ઉમરા પોલીસે બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ કરી છે. માત્ર ધોરણ-12 ભણેલા વ્યક્તિએ દેશના IRCTCને દોડતું કરી દીધું હતું. ડિલિવરી બોયમાંથી સોફ્ટવેર સપ્લાયર બનીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ આચર્યું હતું. રાજેશ મિત્તલ IRCTCમાં તત્કાલ ટિકિટ બુકિંગ થાય તે પહેલા જ ટિકિટ બુક થઈ જાય, તે માટે સોફ્ટવેર વાપરતો હતો. ઓછા સમયમાં આ ટિકિટ તે સોફ્ટવેરની મદદથી બુક કરી લેતો હતો. જેના કારણે પ્રજા અને રેલવેને નુકસાન થઈ રહ્યું હતું. આરોપીના ઘરે દરોડા પાડતા 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 હાઈ સ્પીડ રાઉટર તથા નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પોલીસને હાથ લાગ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Jul 2024 6:55 am

સાંસદો-ધારાસભ્યો ટોલ શા માટે નથી આપતા? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ

- જો તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશેઃ ગડકરી નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ટોલ ટેક્સને લઈ મહત્વના જવાબ આપ્યા હતા. નીતિન ગડકરીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય જનતા મોંઘા ટોલથી હેરાન થઈ રહી છે પરંતુ સાંસદો અને ધારાસભ્યો ટોલ શા માટે નથી આપતા? આ સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટર દ્વારા માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપેલી છે પરંતુ સૌને છૂટ આપવાનું શક્ય નથી. જો સારા રસ્તા પર જવું હશે તો પૈસા આપવા પડશે.' વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, પહેલા લોકો ટ્રાફિકમાં ફસાતા હતા, પેટ્રોલ અને ડીઝલ પર પૈસા બરબાદ થતા હતા. હવે સારા રોડ બનવાથી પૈસા બચી રહ્યા છે તો તેના બદલામાં ટોલ આપવામાં શું વાંધો છે. સરકારે રોડ બનાવવા માટે ઉધાર પૈસા લીધા છે જે તેમણે ચુકવવાના છે અને વ્યાજ આપવાનું છે માટે ટોલ લાગુ કરવો પડે છે. હવે સરકાર દેશના નાના-નાના લોકોના પૈસા વડે રસ્તા બનાવશે. સામાન્ય લોકો પાસેથી પૈસા લેવામાં આવશે ઈન્ફ્રા બોન્ડ અંગે ચર્ચા કરતાં ગડકરીએ કહ્યું કે, તમે બેંકમાં પૈસા રાખો છો તો કેટલું વ્યાજ મળે છે, જો તમે રોડ બનાવવા પૈસા આપશો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશે. દિલ્હી-મુંબઈ હાઈવે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે તો તેના માટે લોકો પાસેથી બોન્ડ સ્વરૂપે પૈસા લેવામાં આવશે.

ગુજરાત સમાચાર 3 Dec 2021 12:52 pm

ધુમ્મસના લીધે થતી રેલવે દુર્ઘટનાઓ ટાળવા મેલ એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં લગાવાયા ફોગ સેફ ડિવાઈસ

- લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ GPS ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંરક્ષિત ટ્રેન પરિચાલનની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે. તેનો ઉદ્દેશ્ય ધુમ્મસના કારણે ટ્રેન ઓછામાં ઓછી મોડી પડે અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેવો છે. આ કારણે એન્જિનોમાં ફોગ સેફ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. ટ્રેનોના સુચારૂ પરિચાલન માટે પૂર્વ મધ્ય રેલવેની તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ માટે ફોગ સેફ ડિવાઈસની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારના કહેવા પ્રમાણે શિયાળામાં ધુમ્મસના કારણે થતી રેલવે દુર્ઘટનાઓને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. ફોગ સેફ ડિવાઈસ શું છે? ફોગ સેફ ડિવાઈસ એ જીપીએસ આધારીત એક ઉપકરણ છે જે લોકો પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે. તેના આધારે લોકો પાયલટ ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરે છે. તે સિવાય ફોગ મેન પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે જે ધુમ્મસ દરમિયાન રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ કરશે. રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં પણ મદદ મળશે. તેમાં લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ GPS ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે.

ગુજરાત સમાચાર 3 Dec 2021 11:48 am

જામનગર સહિત હાલાર પંથકમાં સાંજે 4.3ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ

જામનગર, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારમાં આજે સાંજે 7.00 વાગ્યા ને 13 મિનિટે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાતાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો, અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાના અહેવાલો મળ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક નોંધાયું છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 7.00 વાગ્યા ને 13 મિનિટે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ત્રણ સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકાને લઇ ને અનેક બિલ્ડિંગો હાકડોલક થયા હતા. તેમજ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અનેક મકાનના બારી દરવાજા ખખડી ઉઠયા હતા, અને લોકો ડરના માર્યા ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 14 કિમી દૂર બેડ નજીક અને જમીનમાં 10 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું નોંધાયું છે. ભૂકંપના અહેવાલ મળતાની સાથે જામનગર નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય બન્યું હતું. અને જામનગર જિલ્લાના ધ્રોળ -જોડીયા- કાલાવડ- લાલપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક મામલતદાર સાથે ટેલિફોનિક સંદેશાઓ મેળવ્યા હતા. જોકે સમગ્ર જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં માત્ર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. એક પણ સ્થળેથી જાનમાલની નુકસાની ના કોઈ અહેવાલો મળ્યા નથી. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ઘણા વખત પછી ભૂકંપની અનુભૂતિ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, અને આફ્ટરશોક ના ડરના કારણે અનેક લોકો હજુ ઘરની બહાર જ ઊભેલા જોવા મળી રહ્યા છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 8:46 pm

પૂણેમાં ભાજપના નેતાએ બનાવી દીધુ પીએમ મોદીનુ મંદિર, બાદમાં પ્રતિમા હટાવી લીધી

નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાની લ્હાયમાં મહારાષ્ટ્રના પૂણેમાં ભાજપના એક નેતાએ પીએ મોદીનુ મંદિર કેટલાક દિવસ પહેલા બનાવી દીધુ હતુ.જોકે હવે મંદિરમાંથી પીએમ મોદીની પ્રતિમાને હટાવી દેવામાં આવી છે. જોકે મંદિર બનાવનારા મયૂર મૂંડેએ પ્રતિમા કેમ હટાવી તે જાણી શકાયુ નથી.બીજી તરફ એનસીપી દ્વારા આ મામલામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.એનસીપીના નેતાઓએ કહ્યુ હતુ કે, મંદિર બન્યા બાદ હવે પેટ્રોલ ડિઝલની કિંમતો ઘટશે તેવી આશા જાગી છે.મોંઘવારી પણ ઘટશે અને બધા લોકોના ખાતામાં 15-15 લાખ રુપિયા જમા થશે.અમે અહીંયા આવ્યા હતા અને જોયુ હતુ કે, મંદિરમાંથી પ્રતિમા ગાયબ છે.મોદીનુ મંદિર બનાવવુ એ બૌધ્ધિક રીતે દેવાળુ ફૂંકવાનુ ઉદાહરણ છે. બીજી તરફ મંદિર બનાવનાર મયુર મૂંડેનુ કહેવુ છે કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા બદલ મેં પીએમ મોદીને આ સન્માન આપ્યુ છે.પીએમ બન્યા બાદ મોદીએ બહુ વિકાસ કાર્યો પણ કર્યા છે. મૂંડે આ પ્રતિમા જયપુરથી લાવ્યા હતા અને તેમનુ કહેવુ હતુ કે, મંદિર બનાવવાનો વિચાર અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે આવેલા ચુકાદા બાદ આવ્યો હતો.

ગુજરાત સમાચાર 19 Aug 2021 3:28 pm

સરકાર પાંજરાના પોપટ CBIને મુક્ત કરે

દેશની કેન્દ્રીય તપાસ સંસ્થાને સ્વાયત્તતા આપવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ કેન્દ્ર સરકાર સીબીઆઇને ચૂંટણી પંચની જેમ બંધારણે આપેલા અધિકારો મુજબ કામ કરવા દે, અલગ કાયદો બનાવે : મદ્રાસ હાઇકોર્ટ 2013માં સુપ્રીમે સીબીઆઇને પાંજરાનો પોપટ કહી હતી સીબીઆઇ ડાયરેક્ટર હાજર થાય અથવા એજન્સી રિપોર્ટ દાખલ કરે : મદ્રાસ હાઇકોર્ટ સરકાર કોઇ પણ હોય પોપટ તો પાંજરામાં જ રહેવાનો ! ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇની સ્વતંત્રતા મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે સીબીઆઇ હાલ પાંજરામાં કેદ પોપટની જેમ છે અને તેને પણ ચૂંટણી પંચની જેમ જ આઝાદી મળવી જોઇએ અને એક સ્વતંત્ર એજન્સી તરીકે તેને કામગીરી કરવા દેવી જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે વર્તમાન વ્યવસૃથા છે તેમાં સુધારા કરવા માટે 12 મુદ્દાઓ સુચવ્યા હતા. અને કહ્યું હતું કે આ આદેશ પાંજરામાં કેદ પોપટ સીબીઆઇને આઝાદ કરવા માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 2013માં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અંગે આ જ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તેને પાંજરાનો પોપટ ગણાવી હતી. તે સમયે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારના દબાણ હેઠળ સીબીઆઇ કામ કરી રહી છે. હવે આટલા વર્ષો પછી સીબીઆઇ કેન્દ્રની ભાજપ સરકારના તાબા કે દબાણ હેટળ કામ કરી રહી હોવાનો આરોપ લગાવાયો છે. અને સમગ્ર મામલો મદ્રાસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે પણ તે જ પાંજરામાં કેદ પોપટ શબ્દનો પ્રયોગ કરીને આ આદેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પણ સીબીઆઇ પર કેન્દ્રના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સીબીઆઇ પીએમ દ્વારા કંટ્રોલ કરાયેલી સાજિશ બ્યૂરો ઓફ ઇંવેસ્ટિગેશન છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇની સ્વતંત્રતા ત્યારે જ બહાલ થશે જ્યારે તેને બંધારણે આપેલા અિધકારો મુજબ કામ કરવા દેવાય. કેન્દ્ર સરકારે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટેના પ્રયાસો કરવા જોઇએ અને અલગ જ કાયદો બનાવવો જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇમાં મોટા પાયે સુધારા કરવાના આદેશ પણ આપ્યા છે. જેમાં કોર્ટે કહ્યું છે કે સાઇબર અને ફોરેંસિક તેમજ ફાઇનાંશિયલ ઓડિટમાં જાણકારી રાખનારા વ્યક્તિઓની ભરતી પર નિર્ણય છ સપ્તાહની અંદર લેવામાં આવે. 31મી ડિસેમ્બર 2020 સુધીના જે પણ પેન્ડિંગ મામલા હોય તેનો ઝડપી નિકાલ કરવામાં આવે. આ સમગ્ર મામલામાં છ સપ્તાહની અંદર રિપોર્ટ આપવાનો આૃથવા સીબીઆઇ ડાયરેક્ટરને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ થઇ હતી, જેમાં કથીત ચિટફંડ કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે બાદમાં આ સમગ્ર મામલાને વ્યાપક રીતે સુનાવણી પર લીધો હતો અને સીબીઆઇમાં જે પણ ઉણપ કે સ્ટાફની અછત છે તેના પર ભાર મુક્યો હતો. માત્ર સરકાર જ નહીં હાઇકોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને પણ કહ્યું છે કે એજન્સીમાં જે પણ સ્ટાફની અછત હોય તે અંગે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવે. મદ્રાસ હાઇકોર્ટે આપેલા આદેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ * ભારત સરકારને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટે કાયદો ઘડે. * કેગ અને ચૂંટણી પંચની જેમ જ સીબીઆઇને પણ વધુ સ્વતંત્રતા મળવી જોઇએ. * સીબીઆઇ માટે બજેટમાં અલગથી નાણા ફાળવવા જોઇએ. * સીબીઆઇ ડાયરેક્ટરની સત્તા સરકારના સચીવ જેટલી હોવી જોઇએ, ડીઓપીટી કરતા સીધા પીએમને રિપોર્ટ કરવાની સ્વતંત્રતા આપો. * સીબીઆઇ પર વહીવટ કે કોઇ પણ પ્રકારનો કંટ્રોલ સરકારનો ન હોવો જોઇએ. * ડીઓપીટીને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇના ખાલી પદ ભરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અડચણો દુર કરે. * સીબીઆઇએ પોતાનો વ્યાપ અને સ્ટાફ વધારવાની માગણી સરકાર સમક્ષ કરવી જોઇએ. કેન્દ્ર સરકારે પણ આ અંગે આદેશ આપવા જોઇએ.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:15 am

અશરફ દેશનો ખજાનો લૂંટી ભાગ્યા, ઇન્ટરપોલ ધરપકડ કરે

અફઘાનિસ્તાનના દૂતાવાસની અપીલ અશરફે દેશ છોડયો ત્યારે તેમની પાસે હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડોનો ખજાનો હોવાનો આરોપ કાબુલ : તાજિકિસ્તાનના અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે. તાલિબાને 15 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પરિણામે ખજાનો અને કરોડો રૂપિયા લઇને દેશ છોડીને ભાગી ગયા હોવાનો અશરફ પર આરોપ મુકવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનથી ભાગી છુટયાના પહેલા અશરફે ફેસબુક પર એક લાંબી પોસ્ટ મુકી હતી. જેમાં અશરફ ગનીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં ખૂનખરાબીને રોકવા માટે દેશ છોડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતં કે, તેઓ જો અહીં રહેશે તો તેમના સમર્થકો પણ સડકો પર આવી જશે અને તોફાનો અને હિંસાઓ થશે. અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીની જાહેર સંપત્તિની ચોરીના આરોપમાં ધરપકડ કરવી જેથી આ ભંડોળને અફઘાનિસ્તાનને પરત કરી શકાય. આરોપ છે કે અશરફ ચાર કાર અને એક હેલિકોપ્ટરમાં ઠાંસીઠાંસીને રૂપિયા લઇને ભાગી છૂટયા છે. આ વાતની પુષ્ટિ રશિયાના પ્રવકતાએ કરી હતી.પરિણામે તેમના પર ચોરીનો આરોપ મુકીને તેમની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 5:15 am

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના આરોપી અને હર્ષદ મહેતાના સાથીદારની એટીએસ દ્વારા દિલ્હીથી ધરપકડ

કોર્ટે 25 ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપી મુંબઇ : આંતરરાષ્ટ્રીય ડ્રગ કોર્ટેલના મુખ્ય આરોપી અને શેર માર્કેટના કૌભાંડના હર્ષદ મહેતાના સાથીદાર નિરંજન જયંતીલાલ શાહની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓએ દિલ્હીથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૨૫ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. એટીએસની જુહૂ યુનિટે ૧૭ માર્ચ, ૨૦૨૧ના સોહેલ યુસુફ મેમણને પાંચ કિલો ૬૫ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની કિંમત અંદાજે અઢી કરોડ રૃપિયા હતી. નિરંજન શાહ પાસેથી આ નશીલો પદાર્થ લીધો હતો. આ ગુનામાં તે ફરાર હતો. મુંબઇ, દિલ્હી પોલીસ, નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો, ડીઆરઆઇન ટીમ તેની શોધખોળ કરી રહી હતી. શેર માર્કેટના કૌભાંડનો મુખ્ય આરોપી હર્ષદ મહેતાનો નિરંજન સાથીદાર હતો આર્થિક ગુના શાખામાં તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ હતો. મુંબઇની બહાર નાસી ગયા બાદ તે મધ્યપ્રદેશ, હૈદરાબાદ, કર્ણાટકમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો દિલ્હીમાં મુનેરકા ગામમાં એક સિંગલ ભાડાના રૃમમાં નિરંજન ગરીબ વ્યકિતની જેમ રહેતો હતો. આની જાણ થયા બાદ તેની ધરપકડ કરાય હતી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ : આવતા 2 દિવસ ભારે વર્ષાની આગાહી

ચોમાસાનો કરન્ટ ફરીથી તીવ્ર બન્યો માથેરાન-40, અલીબાગ-25.1, દહાણુ-24.4, હર્ણાઇ-34 મિલિમીટર વરસાદ મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે લગભગ ૧૫ દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. મુંબઇમાં મંગળવાર રાતથી જ વરસાદ વરસવાનું શરૃ થયું છે.આજે બુધવારે સવારથી આખા મુંબઇમાં મધ્યમથી ભારે વર્ષા થઇ હતી.પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને સાંતાક્રૂઝ તથા દાદર, લોઅર પરેલ સુધી અને પૂર્વનાં પરાં ઘાટકોપર, પવઇ, વિક્રોલીમાં સંતોષકારક વર્ષા થઇ હતી. જોકે આજે સવારથી મુંબઇનું ગગન ગોરંભાયું હતું અને આકાશમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો જમઘટ જામ્યો હતો.પરિણામે દિવસે પણ ઘોર અંધકારનું વાતાવરણ સર્જાયું હતું. આજે મુંબઇના કોલાબામાં રાતના ૮-૩૦ સુધીમાં ૪૮.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૩૬.૬ મિલિમીટર વર્ષા નોંધાઇ છે.આજે બુધવાર સુધીમાં કોલાબામાં કુલ ૬૬.૨૯ ઇંચ જ્યારે સાંતાક્રૂઝમાં કુલ ૮૯.૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ ઉત્તર કોંકણનાંથાણે-૧૯.૨, દહાણુ(૨૪.૪), અલીબાગ(૨૫.૧),દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ-૭.૯, હર્ણાઇ-૩૪.૦, મધ્ય મહારાષ્ટ્રનાં પુણે-૪.૦, અહમદનગર-૨.૬ અને માથેરાનમાં ૪૦.૦ મિલિમીટર વર્ષા નોંધાઇ હોવાના સમાચાર મળે છે.સાથોસાથ વિદર્ભનાં અકોલા, ચંદ્રપુર,નાગપુર, ભંડારા જિલ્લામાં પણ અમુક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે. હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન અમુક પરાંમાં મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. આવતા ૨૪ કલાક દરમિયાન પાલઘરમાં ભારે વર્ષા(યલો એલર્ટ) જ્યારે નંદુરબારમાં પણ આવતા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ (યલો એલર્ટ)વરસે તેવી શકયતા છે.સાથોસાથ ૧૯,૨૦-ઓગસ્ટ દરમિયાન વિદર્ભનાં અકોલા,અમરાવતી,બુલઢાણા, નાગપુર અને વાશીમમાં પણ ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી સંભાવના છે. હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પર વધુ તીવ્ર બન્યું છે.સાથોસાથ ગુજરાતમાં પણ સક્રિય થયું છે.ઉપરાંત, હાલ આકાશમાં ૩.૧ થી ૪.૫ કિલોમીટરના અંતરે બે વિરુદ્ધ દિશાના પવનો વચ્ચે તીવ્ર ટક્કર થઇ રહી છે.વળી,બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) પણ સર્જાયું છે.ઉપરાંત, સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વિદર્ભથી તેલંગણા થઇને તામિલનાડુ સુધી જોવા મળે છે. આવાં તમામ બદલાયેલાં સાનુકુળ કુદરતી પરિબળોની તીવ્ર અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રભર અને ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મહારાષ્ટ્રમાં કોરોનાએ વિદાય લીધી હોવાની ચર્ચા પરંતુ સંકટ ટળ્યું નથી

રિકવર થવાનું પ્રમાણ વધીને 96.93 ટકા રાજ્યમાં નવા 5132 કેસ અને 158 દરદીના મોત, મુંબઈમાં 5ના મોત અને નવા 283 કેસ મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ વિદાય લીધી એવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ હજી સંકટ ટળ્યું નથી. શનિવાર પછી આજે ફરી મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા દરદીની સંખ્યામાં નજીવો વધારો થયો હોવાનું નોંધાયું છે. મૃત્યુઆંક પણ વધી ગયો છે. સાથોસાથ દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૫૧૩૨ કેસ નોંધાયા છે અને ૧૫૮ દરદીના મોત થયા હતા. જ્યારે૮૧૯૬ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને કોરોનાથી ૮૦૬૯ દરદી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૪,૦૬,૩૪૫ થઈ છે, અને મરણાંકની સંખ્યા ૧૫૮ થઈ છે. જ્યારે કોરોનાના ૬૨,૦૯,૩૬૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૬.૯૩ ટકા થયું છે. રાજ્યમાં આજદિન ૩,૪૬,૨૯૦ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અને ૨૩૭૧ લોકોને સંસ્થાત્મક ક્વોરન્ટાઇન કરાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઈમાં આજે કોરોના વાઇરસના નવા કેસમાં છેલ્લા બે દિવસની સરખામણીમાં થોડોક વધારો થયો છે. આજે કોરોનાના નવા ૨૮૩ કેસ નોંધાયા છે અને પાંચ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૪૦૦૦૭ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૫૯૩૦ થઈ છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. શહેરમાં આજે કોરોનાના ૨૯૭ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેરમાં છેલ્લા પાંચ દિવસથી એકેય કન્ટેન્મેન્ટ ઝોન નથી. માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી શરૃ થઈ. એ પછી ગયા શનિવારે પહેલી વખત મુંબઈમાં એકપણ કેન્ટનમેન્ટ ઝોન હોતો. કોરોનાની બીજી લહેર ચરમસીમાએ હતી. ત્યારે મુંબઈમાં ૨૮૦૦ જેટલા કન્ટેનમેન્ટ ઝોન હતા.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

કાબુલના એકમાત્ર હિંદુ મંદિરના પુજારીએ કટ્ટર હિંદુત્વ દાખવ્યું

તાલિબાનીઓના હાહાકાર વચ્ચે લોકો પોતાના જીવ બચાવવા દેશ છોડી રહ્યાં છે, ત્યારે પુજારીનો મંદિર છોડવાનો સ્પષ્ટ ઈનકાર મુંબઈ : ૧૫મી ઑગસ્ટે એક બાજુ ભારતમાં આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો હતો ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના કબ્જાને કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. તાલિબાનીઓએ કાબુલ પહોંચતાં જ રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના વરિષ્ઠ સ્ટાફ મેમ્બર્સ સાથે પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ એક હિંદુ પુજારીએ પોતાનો ધર્મ જાળવી રાખવા કટ્ટર હિંદુતા ઉજાગર રાખી છે. કાબુલ સ્થિત રતનનાથ મંદિરના પુજારી પંડિત રાજેશ કુમારે કાબુલ છોડી જવાની સ્પષ્ટ ના કહી છે. તેમણે આ વાત એવા સમયમાં ઉચ્ચારી છે, જ્યારે અફઘાનિસ્તાનના કેટલાંય લોકો પોતાનો જીવ બચાવવા મરણતોલ પ્રયાસો કરીને દેશ છોડી જવા માગે છે. પરંતુ એક હિંદુ પોતાની આસ્થાનું સ્થાન, પોતાના પ્રિય પરમેશ્વરને છોડીને ક્યાંય નહીં જાય તેવી હઠ્ઠ લઈ ત્યાંજ રહેવા તૈયાર થયા છે. પંડિત રાજેશ કુમારના જણાવ્યાનુસાર, કેટલાંક હિન્દુઓએ મને કાબૂલ છોડી જવા કહ્યું. હિન્દુઓએ મારા પ્રવાસ અને રહેવાનો પ્રબંધ કરી આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. પરંતુ મારા પૂર્વજો સેંકડો વર્ષોથી આ મંદિરની સેવા કરતાં આવ્યાં છે અને હવે હું આ મંદિરને આ રીતે છોડીને જઈ શકું તેમ નથી. જો તાલિબાન મને મારી નાંખશે તો તેને હું મારી સેવા ગણીશ. ખાસ ઉલ્લેખનીય કે રતનનાથ મંદિર એ કાબુલનું આખરી બચેલું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવે છે. અહીં સામાન્ય દિવસોમાં હિંદુ અનુયાયીઓની મોટી ભીડ હોય છે. પરંતુ હવે અહીં કોઈ ફરકતું નથી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ પૂછપરછ માટે પાંચમી વાર હાજર રહ્યા નહી

ઇડીની ઓફિસમાં દેશમુખના વકીલ અરજી લઇને આવ્યા હતા : દેશમુખની સામે લૂક આઉટ નોટીસ બહાર પાડવામાં આવે એવી શકયતા મુંબઇ : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન એન્ફોર્સમેન્ટ વિભાગે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છતાં આજે હાજર રહ્યા નહોતા. ઇડીએ પાંચમી વખત દેશમુખને સમન્સ આપ્યા હતા. બીજીતરફ ઇડીને ઓફિસમાં અરજી લઇને આવેલા વકીલે પૂછપરછ માટે દેશમુખના હાજર ન રહેવા બદલ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા દેશમુખની ધરપકડની શકયતા છે. આર્થિક ગેરવ્યવહારના પ્રકરણમાં દેશમુખની સામે ઇડી અને સીબીઆઇ તપાસ હાથધરી છે. આ મામલામાં અગાઉ ચાર વખત ઇડીએ દેશમુખને સમન્સ આપ્યા હતા. પણ દેશમુખ, તેમની પત્ની, પુત્ર હાજર થયા નહોતા. તેમને ઇડી દ્વારા ફરી સમન્સ મોકલી આજે બોલાવવામાં આવ્યા હતા. આમ છતાં આજે પણ દેશમુખ ઇડીની ઓફિસમાં હાજર થયા નહોતા પણ દેશમુખના વકીલ ઇંદરપાલ સિંહ અરજી દાખલ કરવા ઇડીની ઓફિસમાં આવ્યા હતા. દરમિયાન વકીલે જણાવ્યું હતું કે અમે ઇડીને થો ડા સમય માટે રાહ જોવાનુ કહ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અમે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો આવે ત્યાં સુધી કાર્યવાહી રોકવામાં આવે. અમારી ભૂમિકા બાબતે ઇડીને પત્ર આપ્યો છે. અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂછપરછ માટે જરૃરી હાજર રહીશુ. બીજીતરફ સુપ્રીમ કોર્ટે આજે દેશમુખને કોઇ રાહત આપી નહોતી. મુંબઇ હાઇકોર્ટના આદેશની સામે દેશમુખે કરેલી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આમા હવે દેશમુખની ગમે તે સમયે ધરપકડ થશે એવી ચર્ચા થઇ રહી છે. મુંબઇના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર દરમહિને ૧૦૦ કરોડ રૃપિયાની ખંડણી વસૂલ કરવાનો આરોપ કરાતા ચકચાર જાગી હતી. પછી દેશમુખ ગૃહપ્રધાન પદ ગુમાવવુ પડયુ હતુ ઇડીએ તેમની ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો.. આ સિવાય સાડાચાર કરોડ રૃપિયાની કિંમતની સંપતી જપ્ત કરવામાં આવી હતી. પરમબીર સિંહ પદ પણ ભ્રષ્ટાચારના આરોપની તપાસ થઇ રહી છે. ભ્રષ્ટ્રાચારના આરોપ બદલ વારંવાર સમન્સ મોકલવા છતા ઇડીની ઓફિસમાં પૂછપરછ માટે હાજર ન થતા હવે અનિલ દેશમુખ સામે લૂટ આઉટ નોટીસ બહાર પાડવાની તૈયારી થઇ રહી હોવાનું કહેવાય છે. આમ હવે આ મામલામાં દેશમુખની મુશ્કેલી સતત વધી રહી છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

શીના બોરા હત્યા કેસમાં સીબીઆઈએ વધુ તપાસ બંધ કર્યાની કોર્ટમાં માહિતી

કોર્ટે આ બાબતની નોંધ કરીઃ આરોપી ઈન્દ્રાણીએ લીગલ ટીમ બદલાવી મુંબઈ : શીના બોરા હત્યા કેસમાં છ વર્ષ બાદ સીબીઆઈએ વિશેષ કોર્ટને વિધિવત જાણ કરી છે કે તેઓ અ કેસમાં વધુ તપાસ કરશે નહીં. ૨૦૧૨માં બહાર આવેલી કથિત હ ત્યાની ઘટનામાં સીબીઆઈએ તપાસ બંધ કરવામાં અવાતી હોવાની જાણકારી આપીહોવાનું વિશેષ કોર્ટે નોંધ્યું હતું. કેસના આરોપી ઈન્દ્રાણી મુખરજી અનપે પૂર્વ પતિ પીટર મુખરજી અનપે સંજીવ ખન્ના સામે પુરક આરોપનામું નોંધાવકી વખતે તપાસ ખુલી રાખવામાં આવીહતી. આરોપી ડ્રાઈવર શ્યામવર રાય તાજનો સાક્ષી બનીને સરકારી વતી સાક્ષીદાર બન્યો હતો. મુખરજીએ પોતાના નવા વકિલ મારફત પત્ર મોકલાવ્યો હતો કે તે અગાઉની બચાવ ટીમને છૂટી કરીરહી છે. આ વકિલે ૨૦૧૫૬માં તેની ધરપકડ થઈ ત્યારે નિયુક્ત કરાયા હતા. બે એડવોકેટે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી જેમાં ૨૦૧૭થી ૭૦ સાક્ષીદારોને તપાસવામાં આવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી ૩૧ ઓગસ્ટે થશે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

રાજ કુંદ્રાને અશ્લીલ વિડિયોના 2020ના કેસમાં 1 સપ્તાહ માટે ધરપકડ સામે રક્ષણ

સરકારી વિકલે દલીલ કરવા સમય માગ્યો મુંબઈ : મુંબઈ સાઈબર પોલીસે ૨૦૨૦માં નોંધેલા કેસમાં રાજ કંુદ્રાને ધરપકડ સામે એક સપ્તાહનું વચગાળાનું રક્ષણ બોમ્બે હાઈકોર્ટે આપ્યું છે.અમુક ઓનલાઈન પ્લેટફોર્મ્સ તેમની વેબ સિરીઝના ભાગરૃપે અશ્લીલ વિડિયો પ્રકાશિત કરીરહીહોવાની ફરિયાદને આધારે આ કેસ નોંધાયો હતો. ન્યા. સંદીપ શિંદેની સિંગલ બેન્ચ સમક્ષ કંદ્રાની આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે દાખલકરેલા અશ્લીલ ફઇલ્મ સંબંધી આવા જ અન્ય કેસમાં હાલજેલમાં રહેલા કુંદ્રાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઈ સેશન્સ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. કુંદ્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેનું નામ એફઆઈઆરમાં નથી અને તેણે વિસ્તૃત નિવેદન પોલીસને આપ્યું છેે અને તપાસમાં સહકાર પણ આપ્યો છે.સંબંધીત અધિકારીને જરૃરી તમામ દસ્તાવેજો આપ્યા છે અને સાક્ષીદારોના નિવેદન પણ રેકોર્ડ થયા છે. કુંદ્રાએ દાવો કર્યો હતો કે તેણે ફેબુ્રઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન કંપની સાથે કામ કર્યું છે અને ક્યારેય તેના કોન્ટ્રેક્ટ બિલ્ડિંગ અથવા સાહિત્ય નિર્માણમાં કોઈ સક્રિય ભાગ લીધો નથી. આવી જ કલમ હેઠળના અન્ય કેસમાં કુંદ્રાની ધરપકડ થઈ છે અને તપાસ અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને અન્ય દસ્તાવજો પહેલેથી જપ્ત કરી લીધેલા છે. અ ાકેસમાં સહ આરોપી શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને જામીન અપાયા છે, એમ કુંદ્રાના વકિલે કોર્ટને જણાવ્યું હતું. સરકારી વકિલે દલીલ કરી હતી કે કુંદ્રાની ભૂમિકા અન્ય આરોપીઓ કરતાં અલગ છે અને આથી સમાનતાના ધોરણે રક્ષણ મેળવી શકે નહીં. અરજી પર દલીલ કરવા માટે વકિલે સમય માગતાં કોર્ટે ૨૫ ઓગસ્ટ સુધી કુંદ્રાને રક્ષણ આપીને સુનાવણી મોકૂફ રાખી હતી.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત

નવી મુંબઇની જથ્થાબંધ બજારમાં રોજ 840 ટ્રક ભરીને શાક આવે છે મુંબઇ : સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શાકાહારીઓનું પ્રમાણ વધતં હોવાથી લીલા શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શાકની કિંમત વધવાને બદલે ઘટવા માંડતા ગ્રાહકોએ રાહત અનુભવી છે. નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ જ વધવાને કારણે કિંમત ઘટવા માંડી છે. ભિંડા, લીલા મરચાં, પાપડી, રિંગણા, સિમલા મરચાં, વટાણા વગેરે શાકભાજીના ભાવમાં કિલોદિઠ લગભગ ૧૦ રૃપિયાનો ઘટાડો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના કિલોના ભાવ આ પ્રમાણે છે. ટમેટા ૮ રૃપિયા, કાકડી ૮થી ૧૦ રૃપિયા, ભિંડા ૪થી ૮ રૃપિયા, દૂધી ૮થી ૧૦ રૃપિયા, રિંગણા ૧૦ રૃપિયા, ફ્લાવર ૬ રૃપિયા, કારેલા ૧૦ રૃપિયા, મેથીની જુડી ૧૦ રૃપિયા, કોથમીરની જુડી ૮ રૃપિયાના ભાવે જથ્થાબંધ બજારમાં વેંચાય છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ લગભગ ૮૪૦ ટ્રક ભરીને શાકભાજીની આવક થવા માંડી છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઈની બજારોમાં વડાપાવ, ડોનટ્સ, મેંદુવડા રાખડીઓની ધૂમ

બચ્ચા પાર્ટી માટે સુપરહીરો પણ રાખડીમાં ઉપલબ્ધ મુંબઈ : પહેલાં માત્ર રેશમના દોરાથી રાખડી બાંધવાનો રીવાજ હતો. પરંતુ સમય બદલાતાં નવા નવા ટ્રેન્ડ આવ્યાં અને અવનવી ડિઝાઈનની રાખડીઓ પણ આવી. આ વર્ષે બજારમાં વૂડન રાખી, ચોકલેટ રાખડી, પિત્ઝા, બર્ગર, ઢોસા, મેંદુવડા, ડોનટ્સ જેવા ખાદ્યપદાર્થોના આકાર અને કારીગરી વાળી મનમોહક રાખડીઓએ ધૂમ મચાવી છે. રક્ષાબંધનના તહેવારને આડે ગણતરીના દિવસો છે, ત્યારે મુંબઈ, થાણેની મહિલાઓ રાખડીઓ લેવા માટે બજારમાં ભીડ જમાવી રહી છે. કોરોનાને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિમાં રાખડીઓના ભાવમાં પણ ૧૦ થી ૧૫ રુપિયાનો વધારો થયો હોવાનું અનેક રાખડી વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું છે.બચ્ચા કંપનીઓ માટે સ્પાયડર મેન, પિકાચૂ, બેટમેન, છોટા ભીમ જેવા સુપર હીરોના સ્ટીકરવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ છે. આ તમામ રાખડીઓ ૧૦ રુપિયાથી માંડી ૫૦ રુપિયા સુધીના ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

મુંબઈમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ઓન વ્હીલ્સ શરુ કરાઈ

બંધ સ્કૂલ બસમાં શરુ કરાયેલ શાળા દર અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં જાય છે મુંબઈ : કોરોના કાળમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓની સ્કૂલો છૂટી ગઈ કેટલાંક વિદ્યાર્થીઓ મોબાઈલના અભાવે કે ફીના અભાવે શિક્ષણથી વંચિત બન્યાં. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. તેમાંય પહેલાંથી છઠ્ઠા, સાતમા ધોરણના વિદ્યાર્થીઓ વધુ પડતાં છે. આથી આવા વિદ્યાર્થીઓ માટે મુંબઈમાં સ્કૂલ ઓન વ્હીલ્સનો ઉપક્રમ શરુ કરાયો છે. જેમાં નાના ભૂલકાંઓ પણ હોંશે હોંશે સહભાગી થઈ ભણવા આવી રહ્યાં છે. આ ઉપક્રમ અંતર્ગત હાલ બંધ પડેલી સ્કૂલ બસને જ આકર્ષક વર્ગખંડમાં ફેરવી દેવામાં આવી છે. તેમાં પુસ્તકો, પાટી-પેન, ચાર્ટ્સ રાખવામાં આવ્યા છે. ઉપરાંત સુરક્ષાના પણ તમામ નિયમોનું પાલન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ બસ દર અઠવાડિયે વિવિધ વિસ્તારમાં જાય છે અને ત્યાં દરરોજ વિદ્યાર્થીઓને ભણાવે છે. ભવિષ્યમાં આવી અનેક બસ શરુ કરવાનો વિચાર પણ આ ઉપક્રમના પ્રણેતા અશોક કૂર્મિએ વ્યક્ત કર્યો છે.

ગુજરાત સમાચાર 19 Aug 2021 2:30 am

ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબ્જે કર્યા બાદ ફરાર થઈ ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનની જગ્યાએ હવે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. સાલેહ એ જ નેતા છે જેઓ પાકિસ્તાન પર અવાર નવાર પ્રહારો કરતા આવ્યા છે અને ભારતના નિકટના દોસ્ત મનાય છે. હવે તેઓ અફઘાનિસ્તાન માટે આશાનુ છેલ્લુ કિરણ છે. તાલિબાને તેમને મારવા માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા દેશની જાસૂસી સંસ્થાના ચીફ હતા. અમરૂલ્લા સાલેહને પકડવા માટે તાલિબાને તેમના બહેનનુ અપહરણ કર્યુ હતુ અને તેની હત્યા કરી નાંખી હતી. 1990ના દાયકામાં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રયાસ કર્યા હતા ત્યારે સાલેહે પાકિસ્તાનમાં હથિયારો ચલાવવાનુ શિક્ષણ મળવ્યુ હતુ અને કમાન્ડર અહમદ શાહ મસૂદના નેતૃત્વમાં રશિયા સામે જંગ લડી હતી. તાલિબાને એ પછી અફઘાનિસ્તાનમાં પગપેસારો શરૂ કર્યો ત્યારે સાલેહ ફરી એક વખત તાલિબાનો સામે પણ યુધ્ધના મેદાનમાં ઉતર્યા હતા. તે વખતે સાલેહે ભારત સાથે દોસ્તી વધારી હતી.તેમણે જ અહેમદ શાહ મસૂદની ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી. 2001માં અમેરિકા પર અલ કાયદાએ કરેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે શરૂ કરેલા અભિયાનમાં સાલેહે અમેરિકાને મદદ કરી હતી.2006માં તેઓ અફઘાન જાસૂસી સંસ્થાના ચીફ હતા અને તે સમયે તેમણે જાણકારી મેળવી હતી કે, પાકિસ્તાન દ્વારા આતંકીઓને અફઘાનિસ્તાનમાં મદદ કરવામાં આવી રહી છે .તે સમયે તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઓછી થશે ત્યારે તાલિબાન ફરી હુમલા કરશે. સાલેહની આગાહી સાચી ઠરી છે.જોકે તે સમયે તત્કાલિન રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ સાલેહ પર ભડકયા હતા અને તેમને આ રિપોર્ટને ફગાવી દીધા હતા. એવુ મનાય છે કે, અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ સાલેહને ટ્રેનિંગ અપાઈ છે. તેમની પાસે પોતાના જાસૂસોનુ બહુ મોટુ નેટવર્ક છે. ભારતની જાસૂસી સંસ્થા રો સાથે પણ સાલેહના બહુ સારા સબંધો છે અને તેના કારણે જ પાકિસ્તાનીઓ સાલેહથી નફરત કરે છે. જેહાદીઓ સામે સાલેહનુ આકરૂ વલણ પણ આ નફરત માટે જવાબદાર છે. 2004માં સાલેહના નેતૃત્વમાં અફઘાન જાસૂસી સંસ્થા એનડીએસને ગંધ આવી ગઈ હતી કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો છે. તાલિબાનીઓથી બચવા માટે સાલેહ પંજશીર પ્રાંતમાં જતા રહ્યા છે. જે હજી પણ તાલિબાનીઓના કબ્જામાં આવ્યો નથી. હવે તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે અફઘાન નાગરિકોને તાલિબાન સામે ઉભા થવાની અપીલ કરી છે. સાથે સાથે તેમણે એવુ પણ કહ્યુ છે કે, અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આપણે સાબિત કરવુ પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 4:03 pm

રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, જામીન પર સુનાવણી 25 ઓગસ્ટ સુધી સુરક્ષિત

મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલ જે કેસની તપાસ કરી રહી હતી. તે કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે જામીનની સુનાવણી 25 ઓગસ્ટ સુધી માટે સુરક્ષિત કરી લીધી છે. રાજ કુંદ્રા અત્યારે પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે. સાયબર સેલનો કેસ આનાથી અલગ છે. આ મામલાની તપાસ ગયા વર્ષથી મહારાષ્ટ્ર સાયબર સેલ કરી રહી છે. આ કેસ 2020નો છે. સાયબર સેલે જ FIR નોંધી હતી જેનો કુંદ્રા આરોપી છે. આ કેસમાં કુંદ્રાનુ નિવેદન પણ નોંધાયુ હતુ. આ કેસમાં હાટ્શૉટ પણ એક આરોપી છે આ કેસમાં કુંદ્રાએ સેશન કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ એપ્લિકેશન ફાઈલ કરી હતી. શુ છે કેસ મહારાષ્ટ્ર સાયબરે કથિત રીતે અશ્લીલ વીડિયો જોવા માટે એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સ્થિત વિભિન્ન ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ અને વેબસાઈટના ડાયરેક્ટર અથવા માલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાઈબર દ્વારા જારી એક નિવેદન અનુસાર, ALT Balaji, Hotshot, Flizmovies, Feneo, Kukoo, Neoflix, Ullu, Hotmasti, Chikooflix, Primeflix, Wetflix જેવી વેબસાઈટ અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો મેળવવામાં આવ્યા હતા. જે બાદ તેમના ડાયરેક્ટર અથવા માલિક વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અત્યારે જેલમાં છે રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને એપ દ્વારા સ્ટ્રીમ કરવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તે પણ જેલમાં છે. મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસે કહ્યુ છે કે અત્યાર સુધી થયેલી પૂછપરછના આધારે શિલ્પાની સંડોવણી સામે આવી નથી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 3:56 pm

કાબુલથી ઉડાન ભરનારા અમેરિકન પ્લેનના વ્હીલ પરથી મળ્યા માનવ અંગોના અવશેષો

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર કાબુલમાં ફસાયેલા અમેરિકન ડિપ્લોમેટ્સ અને નાગરિકોને લઈને રવિવારે ઉડાન ભરનારા અમેરિકન વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાનના પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાનના કાબુલ પર કબ્જા બાદ ગમે તે ભોગે દેશ છોડવા માંગતા હજારો અફઘાનીઓ એરપોર્ટના રનવે પર ઉમટી પડ્યા હતા. આ દરમિયાનમાં અમેરિકન વાયુ સેનાના વિમાને ઉ઼ડાન ભરી ત્યારે તેના પૈડા પર પણ કેટલાક લોકો ચઢી ગયેલા નજરે પડયા હતા. આ ઘટનાની અમેરિકન વાયુસેના સમીક્ષા કરી રહી છે અને ચોંકાવનારી વાત એ છે કે પ્લેન લેન્ડ થયા બાદ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકન વાયુસેનાનુ વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ ત્યારે તેની સાથે હજારો લોકો દોડી રહ્યા હોય તેવો વિડિયો પણ વાયરલ થયો હતો. એવો અંદાજ મુકાઈ રહ્યો છે કે, ભાગદોડ દરમિયાન પડી ગયેલા અથવા ફાયરિંગના કારણે રનવે પર પડી ગયેલા લોકોના આ અવશેષો હોઈ શકે છે. કારણકે આ ભાગદોડ થઈ ત્યારે અમેરિકન સેનાએ હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ.

ગુજરાત સમાચાર 18 Aug 2021 3:54 pm

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઠાકરે સરકારે નિશાન સાધ્યુ, ફોજદારી કલમો હેઠળ આયોજકો સામે FIR નોંધાઈ

મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર મોદી સરકારમાં તાજેતરમાં જ મહારાષ્ટ્રના ચાર સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થળ મળ્યુ છે. મંત્રી બન્યા બાદ પહેલીવાર પોતાના રાજ્યમાં પાછા ફરેલા જન આશીર્વાદ યાત્રા દ્વારા લોકોને ધન્યવાદ કહી રહ્યા છે પરંતુ કદાચ મહારાષ્ટ્રની ઠાકરે સરકારને કેન્દ્રીય મંત્રીઓની યાત્રા ગમી નહીં. આ કારણ છે કે યાત્રા દરમિયાન ભીડ એકત્ર કરવાના કેસમાં હવે ગુનાકીય કેસ સ્થાનિક પોલીસે નોંધવાનો શરૂ કરી દીધો છે. સોમવારે મુંબઈ નજીક થાણેમાં કેન્દ્રીય પંચાયતી રાજ્ય મંત્રી કપિલ પાટીલની યાત્રા દરમિયાન લાગેલી ભીડને કોરોના નિયમોનુ ઉલ્લંઘન જણાવતા ત્રણ આયોજકો વિરૂદ્ધ થાણે પોલીસે કેસ નોંધ્યો છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભામાં સાંસદ સંજય રાઉતે પણ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર નિશાન સાધ્યુ છે. રાઉતે કહ્યુ કે મુસાફરીમાં માસ્ક વિનાના લોકોને એકત્ર કરવા કોરોનાનુ ઉલ્લંઘન કરવુ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવુ છે, પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે. બાળાસાહેબના સ્મૃતિ સ્થળ પર રાણેનુ જવુ નક્કી, પરંતુ શિવસેનાનો વિરોધ શિવસેના અને સીએમ ઉદ્ધવ ઠાકરેના કટ્ટર વિરોધી મોદી સરકારમાં મંત્રી નારાયણ રાણે 19 ઓગસ્ટથી પોતાના જન આશીર્વાદ યાત્રાની શરૂઆત મુંબઈથી કરશે. પોતાની યાત્રા દરમિયાન રાણે મુંબઈના દાદર સ્થિત શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર પણ અભિવાદન કરવા પહોંચ્યા. આ પહેલી તક હશે જ્યારે રાણે બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર આવશે. શિવસેનાએ નારાયણ રાણેના બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર જવાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેના નેતા અને લોકસભા સાંસદ વિનાયક રાઉતનુ કહેવુ છે કે બાળા સાહેબ ઠાકરે સાથે ગદ્દારી કરનારને સ્મૃતિ સ્થળ પર જવાનો કોઈ અધિકાર નથી અને શિવસૈનિક તેમને આ પવિત્ર સ્થળ પર જવા દેશે નહીં. એવામાં સ્પષ્ટ છે કે 19 ઓગસ્ટે જ્યારે રાણેની જન આશીર્વાદ યાત્રા શરૂ થશે, ત્યારે મુંબઈના શિવાજી પાર્ક સ્થિત બાળા સાહેબ ઠાકરે ના સ્મૃતિ સ્થળ પાસે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓમાં ટકરાવ જોવા મળી શકે છે. આગામી વર્ષ એટલે 2022માં મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી થવાની છે અને ભાજપ નારાયણ રાણે દ્વારા મુંબઈમાં રહેનાર કોકણના લોકોને સાધવાનો પ્રયત્ન કરી રહી છે. આ રણનીતિ હેઠળ રાણેની જન આશીર્વાદ યાત્રા મુંબઈના તે તમામ વિસ્તારોથી થઈને પસાર થશે જ્યાં શિવસેનાનો દબદબો છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:28 pm

મહારાષ્ટ્ર બોર્ડની 12માની માર્કશીટ 21 ઑગસ્ટથી મળશે

મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડના બારમાના વિદ્યાર્થીઓને શનિવાર, તા.૨૧ ઑગસ્ટથી માર્કશીટ તેમની કૉલેજમાંથી આપવામાં આવશે. જોકે કૉલેજોને ૨૦ ઑગસ્ટે બોર્ડ દ્વારા માર્કશીટ મળશે, એવી માહિતી બોર્ડ દ્વારા મળી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જૂનિયર કૉલેજોએ વધુમાં વધુ વિતરણ કેન્દ્રો તૈયાર કરી તે જ વિતરણ કેન્દ્રો પર સુરક્ષિત અંતર સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની રહેશે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખી નિશ્ચિત દિવસે જ વિદ્યાર્થી પાસે આવવાનો આગ્રહ કૉલેજોએ રાખવો નહીં.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તેની આત્મહત્યા પ્રકરણે પુણેથી 1ની ધરપકડ

મુંબઈ : આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તેની આત્મહત્યા પ્રકરણે પોલીસે પુણેથી એક જણની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ સામે ખંડણી પ્રકરણે કાર્યવાહી કરવામાં આવી તેવી માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી. આરોપી ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવે સાપ્તે ત્મહત્યા પ્રકરણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવી હતી. જોકે તે રવિવારે પુણેના વાકડ પોલીસ સ્ટેશનમાં જામીનની શરતો મુજબપ હાજરી આપવા આવ્યો ત્યારે તેને તાબામાં લેવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈના રોેજ એક વ્યક્તિએ મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશનમાં શ્રીવાસ્તવ સહિત રાકેશ મૌર્ય, રાજેશ અનુભવે અને અશોક દુબે સામે એવો આરોપ કર્યો હતો કે આ લોકો તેના લેણા નિકળતા અઢી લાખ રૃપિયા આપતા નથી અને તેની જગ્યાએ પેમેન્ટ છૂટું કરવા પૈસાની માગણી કરી તેને ધમકાવી રહ્યા છે. આ પ્રકરણે દિંડોશી પોલીસે અનુભવેને પણ ઝડપી લીધો છે. ઝોન- ૧૨ના ડીસીપી ડી.એસ. સ્વામી અનુસાર અમને એવી જાણ થઈ હતી કે શ્રીવાસ્તવ વાકડ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા આવવાનો છે. આ માહિતી મળ્યા બાદ અને જાળ બીછાવી હતી. તેણે સાપ્તે આત્મહત્યા પ્રકરણે પહેલેથી જ આગોતરા જામીન મેળવી હતી. જોકે દિંડોશી પોલીસે તેની ખંડણીના એકબીજા કેસમાં ધરપકડ કરી હતી. મરાઠી ફિલ્મો સાથે સંકળાયેલા આર્ટ ડાયરેક્ટર રાજુ સાપ્તે કે જેમણે 'આંબટ- ગોડ', 'માન્યા ધ વંડરબોય' જેવી ફિલ્મોમાં કલા નિર્દેશકનું કામ કર્યું હતું. તેમણે કથિત રીતે પિંપરી- ચિંચવડના તેમના નિવાસસ્થાને ગયા મહિને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવા પહેલા સાપ્તેએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમણે લેબર યુનિયનના અમુક લોકોના નામ જાહેર કરી તેઓ તેમને ત્રાસ આપતા હોવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયામાં સાપ્તેએ વહેતા કરેલા આ વીડિયોમાં તેઓ છેલ્લા થોડા સમયથી આ લોકો તરફતી સતામણીનો ભોગ બની રહ્યા છે. લોકોએ લેબર યુનિયન સાથે સંકળાયેલા અમુક મજૂરોને સાપ્તે વિશે ખોટા મેસેજ વહેતા કરવા જણાવ્યું હતું જેમાં સાપ્તે પેમેન્ટ ડિફોલ્ટર હોવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે ખરેખર સાપ્તેના નામે કોઈ લેણી રકમ નિકળતી નહોતી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

મોહર્રમ નિમિત્તે સરઘસ કાઢવાને હાઈ કોર્ટે સશર્ત પરવાનગી આપી

માત્ર 5 તાઝીયા સાથે 7 ટ્રકને પરવાનગીઃ દરેક ટ્રક પર 2 રસી લીધેલા 15 જણ હોવા જરૃરી મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે મોહર્રમ નિમિત્તે શઇયા મુસ્લિમ સમુદાય દ્વારા કાઢવામાં આવતા સરઘસ અને અન્યવિધિઓને પરવાનગી આપી છે પણ કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને અમુક શરતો લાગી છે. કોવિડ પ્રોટોકોલ ઉપરાંત લદાયેલી શરતોમાં એક ટ્રક પર ૧૫વ્યક્તિની હાજરી અને સાત ટ્રક જ સરઘસમાં સમાવી શકાશે આ સરઘસ ૨૦ ઓગસ્ટે ત્રણ કલાકમાટે કાઢવામાં આવશે. માત્ર પાંચ તાઝિયાને પરવાનગી અપાઈ છે. માત્ર સંપૂર્ણ રસી લીધેલી વ્યક્તિ જ ટ્રકમાં જઈ શકશે. ૧૦૫માંથી ૨૫ જણને જ કબ્રસ્તાનમાં પરવાનગી રહેશે. સ્વયંસેવી સંસ્થા ઓલ ઈન્ડિયા ઈદરા તહેફાજએ હુસૈનિયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લોકલ, મોલ અને દુકાનો તથા રેસ્ટોરાંને રાહત અપાઈ હોવાનો દાખલો અપાયો હતો. બે કલાક માટે ૧૮થી ૨૦ ઓગસ્ટ દરમ્યાન એક હજાર જણને સરઘસમાં પરવાનગી આપવાની છૂટ માગવામાં આવી હતી. સરકારી વકિલે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર અવશે તો પોલીસ સ્ટેશનો માટે સમસ્યા સર્જાશે. મેદનીને નિયંત્રણમાં રાખવી ખાસ કરીને ધાર્મિક સરઘસને તે મુશ્કેલ કામ છે. કોર્ટે જણાવ્યું હતું કેે દરેક ટ્રકમાં ધાર્મિકવડાની ાજરી હોવી જોઈએ જેઓ સરઘસ દરમ્યાન મેદનીને નિયંત્રણમાં રાખી શકે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

એન્ફોર્સમેન્ટ વિભાગે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી સમન્સ મોકલ્યા

બુધવારે પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ મુંબઇ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા ફરી સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને બુધવારે સવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ ચાર વખત દેશમુખને સમન્સ આપવામાં આવ્યું હતું. પણ તેઓ પૂછપરછ માટે હાજર થયા નહોતા. આમ હવે દેશમુખ બુધવારે ઇડીની ઓફિસમાં આવશે કે નહી તે બાબતે સવાલ ઉભો થયો છે. આ પ્રકરણમાં દેશમુખની ધરપકડના ભણકારા સંભળાય રહ્યા છે. ઇડીની ટીમે તાજેતરમાં મુંબઇ અને નાગપુરમાં દેશમુખના ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો. તેમની પત્ની અને પુત્રને પણ સમન્સ મોકલવા છતા તેઓ પણ પૂછપરછ માટે આવ્યા નહોતા. ઇડીની કાર્યવાહીથી બચવા દેશમુખે કોર્ટમાં અરજી કરી હતી. પણ કોર્ટમાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે ગાડીમાં વિસ્ફોટક મળવા અને ગાડીના માલિકની હત્યાના કેસમાં પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ અને તે સમયના મુંબઇના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરાય હતી. ત્યારબાદ પરમબીરે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે દેશમુખે દરમહિને ૧૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હતો. જેને લીધે પોલીસ અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં દેશમુખને ગૃહપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપ બદલ દેશમુખ સામે સીબીઆઇ અને ઇડીએ તપાસ શરૃ કરી હતી.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં 301 દિવસનું પાણીનો સંગ્રહ

લગભગ 83.22 ટકા પાણી ઉપલબ્ધ, અપર વૈતરણા છલકાવવાની સપાટીથી 2 મીટર છેટું મુંબઇ : મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં ૮૩.૨૨ ટકા એટલે કે ૩૦૧ દિવસનો પાણીનો જથ્થો જમા થતાં મુંબઈગરાને માથે આગામી વર્ષના ચોમાસા સુધી પાણીકાપ નહીં મૂકાય એવી પરિસ્થિતિ છે. આજે જમા થયેલા પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીમાં વધુ છે. ગયા વર્ષે ૭૯.૦૯ ટકા પાણી જમા હતું. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડકસાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા મળીને મુંબઈને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણીનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ સાતેય જળાશય મળીને ૧ ઓક્ટોબરના રોજ ૧૪.૪૭ લાખ મિલિયન પાણી જમા થવું જોઈએ. તેની સામે આજે જળાશયોમાં કુલ ૧૨,૦૪,૫૪૨ મિલિયન લિટર પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. એટલે કે લગભગ ૮૩.૨૨૨ ટકા પાણીનો જથ્થા ઉપલબ્ધ થયો છે. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી ચાર જળાશયો છલકાઈ ગયા છે. એમાં જુલસી, વિહાર, તાનસા અને મોડકસાગરનો સમાવેશ થાય છે. જ્યારે અપર વૈતરણા છલકાવવાની સપાટીથી માત્ર બે મીટર છેટું છે. હાલમાં તાનસામાં ૯૯.૧૦ ટકા, મોડકસાગરમાં ૮૯.૫૭, મિડલ વૈતરણામાં ૮૮.૮૯, અપર વૈતરણામાં ૭૦.૪૬ ટકા, ભાતસામાં ૮૦.૫૫ ટકા, વિહારમાં ૧૦૦ ટકા અને તુલસીમાં ૧૦૦ ટકા પાણી જમા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

તાલિબાનોનું મહિલાઓને સરકારમાં જોડાવા આમંત્રણ

- તાલિબાનના ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત, આધુનિક છબી દર્શાવવા તાલિબાનના નેતાએ મહિલા એન્કરને ઇન્ટરવ્યૂ આપ્યો - તાલિબાનોની ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં વિરોધીઓને પણ માફીની અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાની જાહેરાત - અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેન્કના ગવર્નર દેશ છોડીને ભાગ્યા, અફઘાની કરન્સી 1.7 ટકા ઘટીને 83.50ના સ્તરે ગગડી કાબુલ : તાલિબાનોએ કાબુલમાં સત્તા કબ્જે કર્યા પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો લોકોના પલાયનના ભયાનક દૃશ્યો સર્જાયા પછી તાલિબાનોએ મંગળવારે પોતાની છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી તેને ભૂલાવવા માગતા હોય તેમ તેમણે ઈસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઈન્ટર્વ્યૂ પણ આપ્યો હતો. તાલિબાનના આ ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલાહ મુજાહિદે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહિલાઓને અધિકારો આપવાથી માંડીને વિદેશી દૂતાવાસોને સંરક્ષણ પૂરું પાડવા સહિતની ખાતરી આપી હતી. કોઈપણ લડત વિના અફઘાનિસ્તાનના મોટાભાગના શહેરો પર કબજો જમાવનારા તાલિબાનોએ ૧૯૯૦ના દાયકાના અંતના તેમના અત્યંત ક્રૂર શાસનથી એકદમ વિપરિત પોતાની આધુનિક છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અનેક અફઘાનો તેમની નવી ઈમેજ અંગે શંકાશીલ છે. જૂની પેઢી તાલિબાનની આત્યંતિકવાદી વિચારધારાને યાદ કરી રહી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તે પહેલાં ત્યાં સજા તરીકે પથ્થર મારવા અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી. તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇનામુલ્લા સનમગનીએ પહેલી વખત સંઘીય સ્તરે શાસન તરફથી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં બધા જ અફઘાનીઓને માફી આપવામાં આવશે. દરમિયાન કાબુલમાં અત્યાર સુધી કોઈની હેરાનગતિ કે લડાઈની મોટી ઘટના નોંધાઈ નથી. તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઈમાનુલ્લા સમનગનીની સમગ્ર અફઘાનિસ્તાનમાં મંગળવારે જાહેર માફીની જાહેરાત અસ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ કેવી રીતે શાસન કરશે તેના સંકેત તેમણે સંકેત આપ્યા છે. તાલિબાનના નેતાઓ હજી પણ દેશની ભૂતપૂર્વ સરકારના રાજકીય નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. હજી સુધી સત્તાના હસ્તાંતરણની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. અન્ય તાલિબાની નેતાઓએ કહ્યું કે તેઓ અફઘાન સરકાર અથવા વિદેશી સેનાઓને સાથ આપનારા કોઈની સાથે બદલો લેવા માગતા નથી. સૂત્રો મુજબ તાલિબાનો પાસે સરકારમાં સહકાર આપવા માગતા લોકોની યાદી પણ છે. સમાનગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૪૦ કરતાં વધુ વર્ષોથી સૌથી વધુ મહિલાઓએ પીડા વેઠવી પડી છે. ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન ઇચ્છતું નથી કે હવે મહિલાઓએ પીડાનો સામનો કરવો પડે. તેમણે શરિયા કાયદા હેઠળ સરકારી શાસન પ્રણાલિમાં સામેલ થવા મહિલાઓને આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારનું માળખું હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ અનુભવોના આધારે કહી શકું છું કે તે સંપૂર્ણતઃ ઇસ્લામિક નેતૃત્વવાળું હશે અને બધા પક્ષ તેનામાં સામેલ હશે. આમ તાલિબાને આ વખતે પહેલા કરતાં વલણ દર્શાવ્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું છે. તાલિબાનનું આ વલણ દર્શાવે છે કે તેણે આ વખતે પહેલા કરતાં નરમ મિજાજ અપનાવ્યો છે અને કટ્ટરતાવાદી વલણ સાથે બાંધછોડ કરવાનું વલણ દાખવ્યું છે. જો કે આ ફક્ત તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન છે કે પછી તેને તે વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું છે તે બાબત તો આવનારો સમય જ કહેશે. દરમિયાન અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કના એક્ટિંગ ગવર્નર અજમલ અહેમદી પણ તાલિબાનના ડરથી દેશ છોડીને ભાગી ગયા છે. પરિણામે દેશમાં અફઘાની ચલણમાં વિક્રમી કડાકો બોલાયો છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ મંગળવારે અફઘાની ચલણનો ભાવ ડોલરની સરખામણીએ ૧.૭ ટકા ઘટીને ૮૩.૫૦૧૩ પર બંધ રહ્યો હતો. અફઘાનિસ્તાન મુદ્દે પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક 300થી વધુ શીખ-હિન્દુઓએ કાબુલના ગુરુદ્વારામાં આશ્રય લીધો - ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓ ભારત પરત: બે તબક્કામાં 192 ભારતીયોને લવાયા અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે સેંકડો ભારતીયો પણ ત્યાં ફસાઈ ગયા છે. ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલમાં એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. રાહતની બાબત એ છે કે તે બધા જ સલામત છે. બીજીબાજુ કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સહી સલામત ભારત પરત લવાયા છે. દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબજે કરતાં પંજાબમાં લોકો ચિંતિત થઈ ગયા છે. પંજાબ અને દિલ્હી સહિત અનેક જગ્યાના શીખો અને હિન્દુ પરિવારો ત્યાં ફસાયા છે. ત્યાં ૩૦૦થી વધુ શીખ અને હિન્દુ પરિવારોએ કાબુલના એક ગુરુદ્વારામાં આશ્રય લીધો છે. તેઓ બધા સલામત છે, પરંતુ ત્યાંના બદલાયેલા વાતાવરણથી ચિંતિત છે. તેમણે ઉમેર્યું કે ગુરુદ્વારામાં તાલિબાનીઓના કેટલાક પ્રતિનિધિ આશ્રય લઈ રહેલા પરિવારોની તપાસ કરવા માટે આવ્યા હતા. તાલિબાનોના પ્રતિનિધિઓએ પણ કાબુલ ગુરુદ્વારા પ્રબંધકોને આશ્વાસન આપ્યું છે કે ત્યાં રહેતા લોકોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ પરજિત સિંહ સરનાએ કહ્યું કે કેન્દ્ર સરકારે તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને અફઘાનિસ્તાનમાં રહેતા શીખ અને હિન્દુ પરિવારોને ભારત લાવવા પ્રયાસો કરવા જોઈએ. બીજીબાજુ કાબુલમાં તાલિબાનોએ સત્તા કબજે કર્યાના બે દિવસ પછી ભારતીય દુતાવાસના બધા જ કર્મચારીઓને ભારતીય હવાઈદળના સી-૧૭ હેવી લિફ્ટ એરક્રાફ્ટમાં ભારત લવાયા હતા. અફઘાનિસ્તાના ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે, અમે બે તબક્કામાં અફઘાનિસ્તાનમાંથી ૧૯૨ ભારતીયોને સ્વદેશ લાવ્યા છીએ. મંગળવારે ૧૨૦ ભારતીયો સાથે વિમાન કાબુલથી રવાના થયું હતું અને વાયા જામનગર નવી દિલ્હી પહોંચ્યું હતું. દરમિયાન અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ત્યાંની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ પર એક ઉચ્ચ સ્તરી બેઠક બોલાવી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસ અજિત ડોભાલ, નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા. અફઘાનીઓ માટે ભારતે ઈમર્જન્સી ઈ-વિઝા જાહેર કર્યા અફઘાનિસ્તાનમાં પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ભારત આવવા માગતા અફઘાનીઓને છ મહિના માટે ઈમર્જન્સી ઈ-વિઝા આપવામાં આવશે તેમ ભારતે મંગળવારે જાહેરાત કરી હતી. ભારતે જણાવ્યું હતું કે કોઈપણ ધર્મના અફઘાનીઓ 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' માટે ઓનલાઈન અરજી કરી શકશે. અફઘાનિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં વિદેશ મંત્રાલય વિઝા પૂરા પાડશે. તાલિબાનોથી ભયભીત લોકોને આશ્રય આપવા માટે ભારતે ઈલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી 'ઈ-ઈમર્જન્સી એક્સ-મિસ્ક વિઝા' રજૂ કરી છે, જે ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીનો ઝડપી નિકાલ લાવશે. ગૃહમંત્રાલયના ્પ્રવક્તાએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતીય મિશન બંધ હોવાથી ઓનલાઈન વિઝા કરી શકાશે અને અરજીઓની તપાસ અને પ્રોસેસ નવી દિલ્હીમાં થશે. શરૂઆતમાં આ વિઝા છ મહિના માટે માન્ય ગણાશે. બાઈડેન સાથે ચર્ચા કરવી અર્થહીન: સાલેહ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા - પંજશીર પ્રાંત ક્યારેય તાલિબાનોના હાથમાં ન આવ્યો, રશિયા અને અમેરિકા પણ કબજો કરી શક્યા નથી અફઘાનિસ્તાનમાં કાબુલ સહિત દેશના મોટાભાગના વિસ્તાર પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. પરંતુ તાલિબાનો નોર્ધર્ન અલાયન્સના પૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસૂદના ગઢ પંજશીર પર ક્યારેય કબજો કરી શક્યા નથી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી જ આવે છે. તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે અને તાલિબાનો સામે લડવા માટે નાગરિકોને ઊભા થવા હાકલ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક સ્થિત આ ઘાટી એટલી ખતરનાક છે કે ૧૯૮૦થી લઈને ૨૦૨૧ સુધી તેના પર તાલિબાનો કબજો કરી શક્યા નથી. એટલું જ નહીં સોવિયેત સંઘ અને અમેરિકાની સેના પણ આ વિસ્તારમાં માત્ર હવાઈ હુમલા જ કરી શક્યા છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને જોતાં તેમણે ક્યારેય કોઈ જમીની કાર્યવાહી કરી નથી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ પણ આ વિસ્તારમાંથી આવે છે. રાષ્ટ્રપતિ અબ્દુલ ગની ભલે વિદેશ ભાગી ગયા, પરંતુ અમરુલ્લાહ પોતાના ગઢ પંજશીર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામું અથવા મૃત્યુના સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં દેશમાં જ છું અને કાયદેસરનો રાષ્ટ્રપતિ છું. હું ક્યારેય અને કોઈપણ સંજોગોમાં તાલિબાનના આતંકીઓ સામે ઝૂકશે નહીં. હું મારા નાયક અહેમદ શાહ મસૂદ, કમાન્ડર લિજેન્ડ અને ગાઈડના આત્મા અને વિરાસત સાથે વિશ્વાસઘાત નહીં કરું. સાલેહે અમેરિકન પ્રમુખ બાઈડેનની ટીકા કરતાં કહ્યું કે તેમની સાથે ચર્ચા કરવી અર્થહીન છે. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ દૂરથી વિયેતનામી કમ્યુનિસ્ટ જેવા નથી. યુએસ-નાટો હિંમત હારી ગયા છે, પરંતુ અમે હજી જુસ્સો ગુમાવ્યો નથી. સાલેહની પંજશીરથી એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ અનેક લોકો સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે. ઉત્તર-મધ્ય અફઘાનિસ્તાનની આ ઘાટી પર ૧૯૭૦ના દાયકામાં સોવિયેત સંઘ અથવા ૧૯૯૦ના દાયકામાં તાલિબાનો પણ કબજો કરી શક્યા નથી. જોકે, શેર-એ-પંજશીર તરીકે ઓળખાતા અહેમદ શાહ મસૂદને તાલિબાન અને અલકાયદાએ ૯મી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ હત્યા કરી હતી. હવે અહેમદ મસૂદ તેમના પિતાના પગલે તાલિબાનોનો સામનો કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

કાશ્મીરમાં ભાજપના વધુ એક નેતાની હત્યા કરીને આતંકવાદીઓ ફરાર

- કુલગામના ભાજપના અધ્યક્ષને આતંકીઓએ ગોળી મારી - હુમલાખોર આતંકીઓની શોધખોળ જારી, ઓમર અબ્દુલ્લાએ ઘટનાને વખોડી, નેતાઓની સુરક્ષા વધારાઇ શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હાલમાં જ ભાજપના એક સરપંચ અને તેમની પત્નીની પણ ગોળી મારીને આતંકીઓએ હત્યા કરી હતી ત્યારે હવે આ ઘટના સામે આવી છે. જેને પગલે નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હુમલાખોર આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના પર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ નારાજગી વ્યક્ત કરી છે સાથે જ આતંકી હુમલાની નિંદા કરી હતી અને માર્યા ગયેલા નેતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે કુલગામમાં હોમશાલિબાગના સ્થાનિક અધ્યક્ષ જાવેદ અહમદ ડારની આતંકીઓએ હત્યા કરી દીધી છે. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. હાલ કાશ્મીરમાં ભાજપના નેતાઓ આતંકીઓના નિશાના પર વધુ છે. થોડા દિવસ પહેલા જ ભાજપના નેતા અને સરપંચ ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ગુલામ ડાર ભાજપના કિસાન મોર્ચાના જિલ્લા અધ્યક્ષ પણ હતા. જોકે આતંકીઓ આ નેતાઓની કેમ હત્યાઓ કરી રહ્યા છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી. હાલ નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આતંકીઓની શોધખોળ પણ ચાલી રહી છે. કાશ્મીરમાં બે વર્ષમાં અમારા ૨૩ કાર્યકર્તાઓની હત્યા થઇ : ભાજપ જમ્મુ કાશ્મીરમાં ભાજપના નેતાઓની હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. એવામાં કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં ભાજપના ૨૩ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. મોટા ભાગની હત્યાઓ આતંકીઓ દ્વારા કરાઇ છે. જ્યારે જે ૨૩ લોકોની હત્યા કરવામાં આવી છે તેમાંથી નવ કુલગામમાં જ કરવામાં આવી છે. આ નવ હત્યાઓ માત્ર એક જ વર્ષમાં કરવામાં આવી છે અને તેમાં આતંકીઓનો હાથ છે.

ગુજરાત સમાચાર 18 Aug 2021 2:30 am

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 17 કેસ નોંધાયા, કુલ 179 એક્ટિવ કેસ

ગાંધીનગર, 17 ઓગસ્ટ 2021 મંગળવાર રાજ્યમાં કોરોના સંક્રમણ હવે સમાપ્ત થવા તરફ છે, ધીરે-ધીરે કેસ પણ ઘટી રહ્યા છે. આજે કોરોનાનાં માત્ર 17 કેસ જ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 179 એક્ટિવ કેસ છે, જ્યારે 06 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. તો 173 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,956 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. તેથી કુલ મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 કેસનો સમાવેશ થાય છે રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,574 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,20,735 નાગરિકોને રસીનો પ્રથમ અને 71,144 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,56,150 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 40,069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે રસીનાં કુલ 5,92,708 ડોઝ લગાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ 4,12,21,618 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 10:16 pm

અફઘાનિસ્તાનનાં ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે ખુદને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા

કાબુલ, 17 ઓગસ્ટ 2021 મંગળવાર અફઘાનિસ્તાનનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. મંગળવારે એક ટ્વિટમાં સાલેહે જણાવ્યું કે અફઘાનિસ્તાનનાં બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરી, ભાગી જવું, રાજીનામું અથવા મૃત્યુની સ્થિતિમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી પ્રમુખ બને છે. હું હાલમાં મારા દેશમાં અને કાયદેસર રખેવાળ પ્રમુખ છું. હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સર્વ સહમતી માટે સંપર્ક કરી રહ્યો છું. આ ટ્વીટ પહેલા એક ટ્વિટમાં સાલેહે કહ્યું હતું કે અમેરિકાં પ્રમુખ સાથે અફઘાનિસ્તાન અંગે ચર્ચા કરવી નકામી છે. તેમને આ બધું પચાવી લેવા દો. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી અને તાલિબાનો પણ ક્યાંયથી વિયેત કોંગ નથી. યુએસ-નાટોથી વિપરીત, આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી અને આપણે આપણી સામે અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. નકામો વિરોધ સમાપ્ત થઇ ગયો છે. પ્રતિકારમાં જોડાઓ. Clarity: As per d constitution of Afg, in absence, escape, resignation or death of the President the FVP becomes the caretaker President. I am currently inside my country & am the legitimate care taker President. Am reaching out to all leaders to secure their support & consensus. — Amrullah Saleh (@AmrullahSaleh2) August 17, 2021

ગુજરાત સમાચાર 17 Aug 2021 9:28 pm

અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓનો કબજો

- અફઘાનિસ્તાનમાં લોકશાહી, આઝાદી, માનવ અધિકારોનો અંત, અરાજકતા - 15મી ઓગસ્ટે તાલિબાની આતંકીઓએ રાજધાની કાબુલ પર કબજો કરતા જ રાષ્ટ્રપતિ અશરફ વિદેશ ભાગી ગયા - તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, નવા રાષ્ટ્રપતિ તરીકે મુલ્લા અબ્દુલ ગનીનું નામ ચર્ચામાં - અમેરિકા અને ભારતે નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા એરફોર્સ અને સૈન્યની મદદ લીધી કાબુલ : ૧૫મી ઓગસ્ટે જ્યારે ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઇ રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ લોકોની આઝાદી છીનવી લીધી હતી અને દેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને વિદેશ જતા રહ્યા છે. જે બાદ હાલ અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે અને લોકો દેશ છોડી ભાગવા માટે એરપોર્ટ પર જઇ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટના રનવે પર લોકો દોડી રહ્યા છે અને વિમાનમાં જગ્યા ન મળે તો તેના પર લટકીને પણ દેશ છોડવા માટે તૈયાર છે. અમેરિકાએ પહેલી મેથી પોતાનું સૈન્ય પરત બોલાવવાનું શરૂ કરી દીધુ તે બાદથી જ તાલિબાન અફઘાનિસ્તાન પર ચડાઇ કરવાનું શરૂ કરી ચુક્યું હતું, અને આ મહિનામાં એક સપ્તાહમાં જ તેણે ૧૦થી વધુ પ્રાંત પર કબજો કરી લીધો હતો. ત્યારથી જ અનેક ભારતીયો, અમેરિકનો અને અન્ય દેશના નાગરિકો દેશ છોડી પોતાના વતન પરત ફરવા લાગ્યા હતા. ૧૫મી ઓગસ્ટે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું તે સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ અફઘાનિસ્તાન છોડી અન્ય દેશ જતા રહ્યા. તેમણે બાદમાં એક ચીઠ્ઠી જારી કરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં વધુ લોહીયાળ જંગ ન થાય તે હેતુથી દેશ છોડી દીધો છે. જ્યારે બીજી તરફ તાલિબાને કહ્યું છે કે અમને એવી આશા નહોતી કે આટલી ઝડપી અમે અફઘાનિસ્તાનના પોતાના હાથમાં લઇ લઇશું. આ સાથે જ તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન પર ચડાઇ માટે જે લોહિયાલ યુદ્ધ છેડયું હતું તેનો પણ અંત આવી ગયો છે તેવી જાહેરાત કરી હતી. તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં પોતાનો નેતા જાહેર કરશે અને તે સાથે જ ઇસ્લામિક શરીયત કાયદાને પણ લાગુ કરશે, જે કાયદો અગાઉ તે લાગુ કરી ચુક્યું હતું અને મહિલાઓને નોકરી કરવાથી લઇને ઘરોથી એકલા બહાર નિકળવા પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. આ કાયદો તાલિબાન દ્વારા ફરી લાગુ કરવામાં આવશે. સાથે જ અફઘાનિસ્તાનનું નામ પણ બદલવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે તાલિબાની આતંકીઓ હવે મોટા ભાગના શહેરોમાં નાકાબંધી કરી રહ્યા છે અને વાહનોની ચકાસણી કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૬થી ૨૦૦૧ સુધી તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો હતો, જે સમયે તેણે મહિલાઓ પર બહુ જ અત્યાચાર ગુજાર્યો હતો. જોકે ૨૦૦૧માં અમેરિકાએ સૈન્ય મોકલીને તાલિબાની આતંકીઓથી અફઘાનિસ્તાનને આઝાદી અપાવી હતી. ૨૦ વર્ષની અફઘાનિસ્તાનની આ આઝાદીનો ૧૫મી ઓગસ્ટે અંત આવી ગયો હતો. જેથી હવે ફરી અફઘાનિસ્તાન અંધકારમય સ્થિતિમાં મુકાઇ ગયું છે. બીજી તરફ અન્ય દેશોના નાગરિકો ભયના માહોલમાં છે. અમેરિકા અને ભારતે પોત પોતાના એરફોર્સની મદદથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી વધુ ઝડપી બનાવી દીધી છે. હાલ કાબુલ એરપોર્ટ પર અમેરિકી સૈન્ય તૈનાત છે અને પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે ભારતે પણ પોતાના વિમાનો દોડાવ્યા છે. બીજી તરફ આતંકી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને આદેશ આપ્યો છે કે તેઓ ૧૭મી તારીખ સુધી પોતાના ઘરોમાં જ રહે. અને અન્ય દેશના નાગરિકોને હાની નહીં પહોંચાડીએ તેવી ખાતરી પણ આપી છે. સાથે જ હવે તાલિબાને પોતાના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે આતંકી મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ ચર્ચામાં છે. કંદહારના વતની અને તાલિબાનની આગેવાની લેનારા મુલ્લા અબ્દુલ ગનીએ આતંકીઓની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે અને સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. રશિયાના રાજદૂતાવાસનો દાવો અફઘાન પ્રમુખ ચાર કાર અને હેલિકોપ્ટર ભરેલા નાણા લઈને નાસી ગયા - ગની બાકીના નાણા એટલા માટે છોડી ગયા કેમકે તે હેલિકોપ્ટરમાં આવી શકે તેમ ન હતા કાબુલમાં રશિયાના રાજદૂતાવાસે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘની દેશમાંથી ચાર કાર અને એક હેલિકોપ્ટર ભરેલા નાણા સાથે નાસી ગયા હતા. તેઓ બાકીના નાણા એટલા માટે છોડી ગયા કે તે તેમા ભરાઈ શકે તેમ ન હતા. ૦ઘની હાલમાં ક્યાં છે તે કોઈ જાણી શક્યું નથી. તે રવિવારે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ગયા અને તાલિબાનો કોઈપણ પ્રકારના પડકારનો સામનો કર્યા વગર કાબુલમાં પ્રવેશ્યા હતા. ઘનીએ દાવો કર્યો હતો કે તે રક્તપાત ટાળવા માંગતા હોવાથી કાબુલ છોડી ગયા હતા. રશિયાએ જણાવ્યું હતું કે તે કાબુલમાં તેની રાજદ્વારી હાજરી જારી રાખશે. તેણે આશા વ્યક્ત કરી હતી કે તે તાલિબાન સાથે સંબંધ જાળવી રાખશે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે તેને તાલિબાનોને દેશના શાસક તરીકે માન્યતા આપવાની કોઈ ઉતાવળ નથી. તે પહેલા તો તેમની વર્તણૂક પર ધ્યાન આપશે. કાબુલમાં રશિયન એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નજરે જોનારાએ જણાવ્યું હતું કે ઘની ચાર કાર અને હેલિકોપ્ટર ભરેલા નાણા લઈને ભાગી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ વાસ્તવમાં હજી પણ વધારે નાણા ભરવા માંગતા હતા, પરંતુ હેલિકોપ્ટરમાં જગ્યા ન હતી. તેના લીધે તેમણે બાકીના નાણા છોડી દેવા પડયા. રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુટિનના અફઘાનિસ્તાનના ખાસ પ્રવક્તા ઝમીર કાબુલોવે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે તેઓ કેટલા નાણા મૂકીને ગયા છે. તેણે જણાવ્યું હતું કે આશા રાખી શકીએ કે દેશના વર્તમાન બજેટના બધા નાણા તે લઈને ગયા નહીં હોય. જો આવું થયું હશે તો દેશ માટે આ ખરાબ સ્થિતિ હશે.

ગુજરાત સમાચાર 17 Aug 2021 2:30 am

ભારત માટે પડકાર : તાલિબાન જોડે ચીન અને પાક.ની ખંધી રાજનીતિ

- કાશ્મીરને હડપવા હવે લશ્કર એ તોઇબા અને 'જૈશ' નવેસરથી વધુ મજબૂત બનશે - ચીન તાલિબાનીઓને શસ્ત્ર અને ફંડ સહિતનું પીઠબળ પૂરું પાડી અમેરિકા અને ભારત એમ એક કાંકરે બે પક્ષીને નિશાન બનાવશે - ભારતે તેના હિતોની એશિયામાં અને અફઘાનિસ્તાનમાં રક્ષા થાય તેને વધારે પ્રાધાન્ય આપવું પડશે - પાકિસ્તાનમાં પશ્તુન અને બલોચ વધુ ઉગ્ર બનશે : આંતરિક વિગ્રહનો ભય નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબ્જો લીધા પછી અમેરિકા સહિતના પશ્ચિમના રાષ્ટ્રો અને એશિયાના દેશોની રાજનીતિ નવો વળાંક લેશે. ભારતને માટે ફૂટનીતિની કસોટી થશે કેમ કે ચીન અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લઈને ભારતની ભીંસ વધારશે. ભારતને કાશ્મીર તેમજ આંતરિક સુરક્ષા સામે પણ ખતરો વધ્યો છે. પહેલી નજરરનું વિશ્લેષણ કંઈક આવું થઈ શકે તેમ છે. તાલિબાને ભારત સરકારને ખાતરી આપી છે કે અમે સત્તા પર આવીશું તે પછી ભારતે ચિંતા કરવા જેવી નથી અમે કાશ્મીર કે ભારતની ઘરેલુ નીતિમાં માથુ મારવાના નથી. અમને માત્ર અમારા દેશ અફઘાનિસ્તાનમાં અમારા સિદ્ધાંતો સાથે શાસનમાં રસ છે. ભારતે પણ અન્ય પાડોશી દેશોની જેમ તાલિબાન સરકારને વ્યૂહાત્મક રીતે આવકારવી જ પડશે. આમ પણ તાલિબાનના નેતાઓએ અફઘાનિસ્તાન કબજે કર્યા અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે અમે સત્તાની ધૂરા સંભાળી છ મહિના માટે વચગાળાની સરકાર નિયુક્ત કરીશું અને વિશ્વનું અને અફઘાનિસ્તાનના નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરતા બતાવીશું કે અમારી જોડે રાજકીય સંબંધ રાખવામાં કોઈ અસલામતિ નથી. અમે શરિયા ચોક્કસ લાગુ કરીશું પણ સાથે સાથે છેલ્લા ૨૦ વર્ષની સરકારે જે પણ પ્રગતિજનક નિર્ણયો લીધા હશે તેનો સ્વીકાર પણ કરીશું. પશ્ચિમના દેશો પણ આથી જ તાલિબાનની સરકારના છ મહિનાનું શાસન કઇ રીતનું રહે છે તે જોવા માટે હાલ તાત્કાલિક તેઓની વિરૂધ્ધ કોઇ નિવેદન નથી કરતા. ભારતે એવી સાવધાની રાખવાની છે કે અમેરિકા અને યુરોપીય દેશોએ ભૂતકાળમાં તાલિબાનની સરકારને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો તેવું કદાચ તેઓ ફરી વખત પણ વલણ અપનાવે તો પણ તેઓએ તેમની સરહદી તેમજ કાશ્મીર અને ઘરેલુ નીતિની રક્ષા કરવાની છે. ચીન અને પાકિસ્તાનની સરકાર લૂચ્ચી રણનીતિ અપનાવીને તેમનો સ્વાર્થ સાધશે. ચીનને ખબર છે કે અમેરિકા અને યુરોપિય દેશો તાલિબાનને સમર્થન આગળ જતા નહીં જ આપે. તાલિબાનને પણ અમેરિકા પ્રત્યે અવિશ્વાસ રહેવાનો જ છે કે ભવિષ્યમાં તેઓ ફરી અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલી જ શકે. આથી ચીન અમેરિકાની પરેશાની વધારવા અત્યારથી જ તાલિબાન સરકારના આગમનને વધાવી ચૂકયું છે. યાદ રહે અફઘાનિસ્તાન મધ્ય અને દક્ષિણ એશિયામાં મોકાનો દેશ છે. તેની પૂર્વ અને દક્ષિણ સરહદે પાકિસ્તાન, પશ્ચિમે ઇરાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તેમજ ઉત્તર-પૂર્વમાં ચીન છે. ચીન મધ્ય અને દક્ષિણ એશિયા પરના અફઘાનિસ્તાનનું હવે લાલન પાલન કરી અમેરિકાને અને ભારત બંનેની ઉંઘ હરામ કરી શકશે. અમેરિકા ઇરાન પર નજર રાખવા પણ અફઘાનિસ્તાનમાં સૈન્ય ખડકતુંં રાખવું પણ હવે તે પણ શક્ય નહીં બને. ઇરાન બેરોકટોક વધુ મજબુત બનશે અને ચીન આવા અમેરિકન વિરોધી દેશોની જોડે બેસીને ધરી રચશે. ચીન તાલિબાનીઓને આર્થિક તેમજ સૈન્યથી મદદ કરીને અમેરિકા સામે વધુ મજબુત બનાવશે. આ જ ચીન તે પછી તાલિબાનને ભારત પર ભીંસ વધારવા ઉગ્રવાદીઓને પણ પીઠબળ પુરુ પાડી શકે છે. ચીનની આવી ડ્રેગન ખંધાઈને લીધે પાકિસ્તાન ઈચ્છે છે કે બગાસુ ખાતા તેઓના મોંમાં પતાસુ આવી જાય. પાકિસ્તાનને પોતાનો દેશ ભીખારી ભલે બને પણ તેઓનો તો ડોળો કાશ્મીર પર જ મંડાયેલો છે. જો ભારતની સરહદ પર દબાણ સર્જાતુ હોય તો પાકિસ્તાન તાલિબાન રાજને લીધે તેઓનો દેશ પણ વર્ગવિગ્રહમાં ધકેલાઈ શકે તેની પરવા ન કરે તેવું પણ બને. તાલિબાનીઓ જો શરિયાનો અમલ ઈસ્લામ દેશો કરે તેવો મનસુબો સેવશે તો પાકિસ્તાન તેઓનું પહેલું નિશાન હશે. ભારતે ચીન અને પાકિસ્તાન તેમના ઈરાદામાં સફળ ન થાય તેને નજરમાં રાખીને પણ તાલિબાન સરકાર બાબત હાલ ત્વરિત કોઈ સ્ટેન્ડ લેવાની જરૂર નથી. તટસ્થ અને સાક્ષીભાવ કેળવવાનો છે. અમેરિકાએ તાલિબાનોને ઠેકાણે પાડયા હતા તે અગાઉ જ્યારે તાલિબાનની સરકાર હતી ત્યારે ભારત સરકાર તેઓને માન્યતા આપવામાં સૌથી છેલ્લી હતી. ભારતે યાદ રાખવાની જરૂર છે કે અમેરિકા, રશિયા, ચીન બધા પોતાનો સ્વાર્થ સાધે છે. અમેરિકાએ જ '૯૦ના દાયકામાં તાલિબાનોને રશિયા સામે ઉભા કર્યા હતા. એ જ અમેરિકાએ તેઓ પર સકંજો સાધ્યો હતો. હવે અમેરિકા ફરી તાલિબાનોને છૂટ્ટો દોર આપતા સૈન્ય પાછું ખેંચી લે છે. રશિયા અને ચીન કોઈને હ્યુમન રાઈટ્સની પરવા નથી કરતું. ભારતે જમ્મુ-કાશ્મીર સરહદે વધુ સાવધ રહેવું પડશે કેમ કે સરકારે તઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો વધુ ઘાતક બની શકે છે. તાલિબાનીઓએ જે રીતે સરકાર કબ્જે કરી તેમ તેઓ કાશ્મીરમાં કરવા માટેની યોજના બનાવી શકે તેવો ભય અસ્થાને નથી. ઈરાનમાં કટ્ટરપંથી પરિબળો પણ ઉગ્રતા ધારણ કરી શકે છે. ભારતના ઈરાન, રશિયા કે ટર્કી જોડેના સંબંધો પણ ઉષ્માભર્યા નથી. ભારતને આ મહિને જ યુનાઈટેડ નેશન્સ સીક્યોરીટી કાઉન્સિલના પ્રમુખ તરીકેનો વારો આવ્યો છે ત્યારે તેઓ અફઘાનિસ્તાનની બદલાયેલી નેતાગીરી બાબત તેમના સૂચનો અને અપેક્ષાઓ વિશ્વમંચ પર મૂકવાની તક પણ ધરાવે છે. રશિયા પણ તાલિબાન સરકાર આવતા પાકિસ્તાન જોડે નજીક આવવાની રણનીતિ અખત્યાર કરશે. ભારતે અફઘાનિસ્તાનની નોન-તાલિબાન સરકારને પ્રગતિશીલ બનાવવા રોડ, બ્રીજ હોસ્પિટલ અને સંસદ ખાતે નોંધપાત્ર ફંડ પુરું પાડયું છે. ભારત સરકારનું પ્રથમ ધ્યેય તો એ જ હોવું જોઈએ કે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા ભારતના હિતોને નુકસાન ન પહોંચે. તાલિબાન સરકારના શાસનમાં અફઘાનિસ્તાન જોડેનો વેપાર કરાચી, ગ્વાદરથી થશે. યાબાહર બંદરના વિકાસ માટે કરેલ મોટો ખર્ચ હવે તેનો હેતુ પાર ન પણ પાડે. પાકિસ્તાનને એવો ડર છે કે ભારત પાકિસ્તાનના પશ્તુન અને બલોચને હવે વધુ પાકિસ્તાન વિરોધી મોરચો ખોલવા પાકા પાયાની ભુમિકા ભજવશે જ્યારે તાલિબાનીઓ પણ આવી જ રણનીતિ અપનાવી પાકિસ્તાન પર પકડ જમાવશે. ભારતે સાવધાનીથી 'વેઈટ એન્ડ વૉચ'ની નીતિ અપનાવવાની છે. ચીન અને પાકિસ્તાનને વધુ મજબુત બનતા અટકાવવાના છે અને સાથે તેમની સરહદો પણ સુરક્ષિત રાખવાની છે. અફઘાનિસ્તાનના પતનનો ઘટનાક્રમ ૧૪ એપ્રીલ, ૨૦૨૧ : અમેરિકાના પ્રમુખ જો બાઇડેને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત બોલાવવાની જાહેરાત કરી હતી. ૧ મે, ૨૦૨૧ : અમેરિકાએ પોતાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પરત અમેરિકા લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ૧૦ મે, ૨૦૨૧ : તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન સૈન્ય પર હુમલા શરૂ કરી દીધા, અનેક બોમ્બ બ્લાસ્ટ કર્યા. ૬ જુલાઇ, ૨૦૨૧ : અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના સૌથી મોટા સૈન્ય ઇન્સ્ટોલેશનને બલગ્રામ એરફીલ્ડમાંથી પરત લઇ લીધું. ૬ ઓગસ્ટ, ૨૦૨૧ : અનેક નાના ગામો અને જિલ્લાઓ બાદ અફઘાનિસ્તાનના પ્રાંતો તાલિબાનના હાથમાં જવાનું શરૂ થઇ ગયું. ૮ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનના પ્રાંતોની રાજધાની સર-એ-પુલ, કુંદુઝ અને તાલોકાન તાલિબાનના હાથમાં આવી ગયા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ : બદક્શન અને બઘલાન પ્રાંતની રાજધાની તાલિબાનના કબજામાં આવી ગઇ. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર તાલિબાને કબજો કરી લીધો. કાબુલ તરફ આગળ વધ્યું. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનનું ચોથુ સૌથી મોટુ શહેર મઝર-એ-શરીફ તાલિબાનના હાથમાં આવી ગયું. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાની આતંકીઓએ કબજો કરી લીધો, રાષ્ટ્રપતિ ગની દેશ છોડી જતા રહ્યા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૧ : અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો, લોકો એરપોર્ટ તરફ ધસી આવ્યા, દેશ છોડવા માટેના પ્રયાસો તેજ થયા. તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાના આતંકીઓને તૈનાત કરી દીધા.

ગુજરાત સમાચાર 17 Aug 2021 2:30 am

ગુજરાતમાં નવા 14 કેસ, 13 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.76 ટકા

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2021 સોમવાર રાજ્યમાં આજે કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી તેથી કુલ મૃત્યુંઆંક 10,078 પર સ્થિર છે. હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 177 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, તે સાથે જ અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 32 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3,250 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 92,212 નાગરિકોને રસીનો પ્રથમ અને 57,964 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 2,77,981 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 27,385 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે રસીના કુલ 4,58,824 ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4,06,38,910 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ગુજરાત સમાચાર 16 Aug 2021 11:47 pm

અફઘાન હિંદુઓ અને શીખોને ભારતમાં આવવા માટે મદદ કરીશું: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2021 સોમવાર અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત લાવવા અંગે સરકારનું નિવેદન બહાર આવ્યું છે. વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે કાબુલથી કોમર્શિયલ વિમાન સેવા શરૂ થયા બાદ અફઘાનિસ્તાનના હિન્દુઓ અને શીખોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારતે કહ્યું કે તે તેના અફઘાન સાથીઓની સાથે ઉભું રહેશે અને તેના હિતો તેમજ તે દેશમાં ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા તમામ પગલાં લેશે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કાબુલ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટ્સને સ્થગિત કરવાથી ભારત પરત ફરવાના પ્રયાસો અટકી ગયા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન લડવૈયાઓ રવિવારે કાબુલમાં પ્રવેશ્યા હતા. આ સાથે બે દાયકા સુંધી ચાલેલા લોહિયાળ સંઘર્ષનો આશ્ચર્યજનક અંત આવ્યો જેમાં અમેરિકા અને તેના સાથીઓએ દેશમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાગચીએ કહ્યું કે અમે અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છીએ. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત પરત આવવા માટે સુવિધા પહોંચાડી છું. તેમણે કહ્યું કે ઘણા અફઘાન છે જેઓ પરસ્પર વિકાસ, શૈક્ષણિક અને લોકોથી લોકોના સંપર્કના પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે ભારતના સાથી રહ્યા છે અને ભારત તેમની સાથે ઉભું રહેશે. બાગચીએ કહ્યું કે ભારત લોકોના પરત ફરવાની પ્રક્રિયા ફરી શરૂ થાય તે માટે ઉડાનોની રાહ જોઈ રહ્યું છે. બાગચીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કાબુલમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ છે. તેમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે ... ભારત સરકાર અફઘાનિસ્તાનનાં તમામ ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહી છે. બાગચી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ દેશનો કબજો સંભાળ્યા બાદ પરિસ્થિતિ અંગે મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

ગુજરાત સમાચાર 16 Aug 2021 11:14 pm

ગુજરાતનાં આ 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ લંબાવાયો, જાણો શા માટે ?

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે અને કોરોનાનાં કેસમાં પણ દરરોજ નોંધાતા નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજું પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઇ રહ્યો છે, એવામાં રાજ્યની વિજય રૂપાણીની સરકારે ગુજરાત ના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં રાત્રિ કરફ્યૂ આગામી 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. ગુજરાતના આ 8 મોટા શહેરોમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લંબાવવાનો નિર્ણય આગામી દિવસોમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા રાજ્ય સરકારે 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

ગુજરાત સમાચાર 15 Aug 2021 10:23 pm

ગુજરાતમાં કોરોનાનાં આજે 16 નવા કેસ, વૅક્સિનેશનનો કુલ આંક 4 કરોડને પાર

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ઘટી રહ્યું અને આ સાથે જ બીજી લહેર પણ વિદાય લેતી જણાય છે, આજે કોરોનાનાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત નથી થયું. તેથી કુલ મૃત્યુઆંક 10078 પર સ્થિર છે. આજે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,14,921 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત જોઇએ તો આજે વડોદરા શહેરમાંથી સૌથી વધુ 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે, જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે વિગતો જોઈએ તો, આજે રાજ્યમાં 3,73,162 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વૅક્સિનેશનનો કુલ આંકડો 4 કરોડને વટાવી ગયો છે.

ગુજરાત સમાચાર 15 Aug 2021 9:32 pm

બીજા વિશ્વયુદ્ધ બાદ શોષણખોર રાષ્ટ્રો નબળા પડતા 31થી વધુ દેશ આઝાદ થયેલા

- 16મી સદીમાં ઑદ્યોગિક ક્રાંતિને પગલે યુરોપમાં કાચા માલની જરૂર ઊભી થઈ અને લખાઈ ગયો સંસ્થાનવાદનો કલંકિત ઈતિહાસ - દુનિયા પર એ જ લોકો રાજ કરે છે, જેનું વિજ્ઞાાન પર પ્રભૂત્વ છે અને જે આર્થિક રીતે સમૃદ્ધ છેઃ આપણે અંગ્રેજોની જેમ કોઈનું શોષણ નથી કરવું, પરંતુ આપણું વજન બનાવી રાખવા વિજ્ઞાાન અને ઇકોનોમી આ બે દિશામાં સતત મજબૂત બનવું જરૂરી માનવજાતિનો ઈતિહાસ શોષણનો ઈતિહાસ છે, એવું કાર્લ માર્ક્સે કહેલું. આદિમ યુગના માણસ અને આજના માણસ વચ્ચે કોઈ એક સામ્ય હોય તો તે છે લડત. માણસ પહેલા અનાજ માટે લડતો, પછી જમીનો માટે લડતો થયો. માણસ પહેલા પેટ માટે લડતો હતો, પછી મન માટે લડતો થયો. પેટ ભરવા માટે તો યુરોપમાં પૂરતા સંસાધનો હતા, પરંતુ તેનાથી તેમનું મન ભરાતું નહોતું, લાલસા સંતોષાતી નહોતી એટલે તેમણે એક પછી એક દેશોને વેપારના બહાને ગુલામ બનાવવાનું શરૂ કર્યું. કોઈ કહે છે કે એ દૂષ્ચક્રનો બીજા વિશ્વયુદ્ધ પછી અંત આવ્યો તો કોઈ કહે છે કે એ દૂષ્ચક્ર આજે પણ કોઈને કોઈ સ્વરૂપમાં ચાલુ છે. યુરોપમાં ૧૬મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછી યુરોપિયન દેશોને કાચા માલની જંગી જરૂરિયાત ઊભી થઈ. તે મેળવવા માટે વેપારીઓ દરિયાઈ માર્ગે વિવિધ દેશોની સફરે નીકળી પડયા. કાળક્રમે તે સફર અનેક રાજ્યો, દેશો, પ્રદેશો માટે ગુલામીના ઈતિહાસનું કારણ બની. ફ્રેન્ચો, સ્પેનિશો, પોર્ટુગીઝો, ડેનિશો અને વલંદાઓ (ડચ)એ જુદા-જુદા દેશોમાં વેપારના બહાને ઘૂસી ધીમે-ધીમે તેમને ગુલામ બનાવી દીધા. ગુલામીની આ બેડી ત્રણ સદી પછી એટલે કે બીજા વિશ્વ યુદ્ધના અંત પછી તૂટવાની શરૂઆત થઈ. ભારત અને તેના જેવા બીજા દેશો આઝાદ થયા તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું પૂરેપૂરું યોગદાન હતું, સાથોસાથ આઝાદીનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ બીજું વિશ્વ યુદ્ધ પણ હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક રીતે અને સૈન્યની દ્રષ્ટિએ ખુવાર થઈ ગયેલા યુરોપિયન દેશો માટે અન્ય દેશો પર રાજ કરવાનું સરળ રહ્યું નહોતું એટલે જ એક પછી એક દેશ આઝાદ થતાં ગયા. ભારત ૧૯૪૭માં આઝાદ થયું, વિયેતનામ ૧૯૪૫માં, શ્રીલંકા ૧૯૪૮માં, ફિલિપાઈન્સ ૧૯૪૬માં, ઓમાન ૧૯૫૬માં, મ્યાંમાર ૧૯૪૮માં, માલદીવ ૧૯૬૫માં, મલેશિયા ૧૯૫૭માં, દક્ષિણ કોરિયા ૧૯૪૮માં, જોર્ડન ૧૯૪૬માં અને કંબોડિયા ૧૯૫૩માં. કંબોડિયા ૧૮૬૩થી ફ્રાંસના તાબામાં હતું. ૯મી નવેમ્બર ૧૯૫૩ના રોજ તેણે આઝાદી મેળવી. ફિલિપાઈન્સ પર સ્પેનનું રાજ હતું. ટ્રીટ્રી ઓફ મનીલા અંતર્ગત તેણે ૪થી જૂલાઈ ૧૯૪૭ના દિવસે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તે ૧૮૯૮થી સ્પેનના તાબા હેઠળ હતું. ૪૯ વર્ષના સંઘર્ષ પછી તેણે મુકિતનું અજવાળું જોયું. વિયેતનામે ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. તે ૧૮૮૭થી ફ્રાંસના કબજામાં હતું. મલય રાજ્યોને ૧૭મી સદીથી યુરોપિયન દેશો ધમરોળતા હતા. ૩૧મી ઓગસ્ટ ૧૯૫૭ના રોજ તેણે બ્રિટનના તાબામાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. વિવિધ મલય રાજ્યો ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૩ના રોજ ફેડરેશન ઑફ મલાયા હેઠળ સંગઠિત થયા અને મલેશિયા દેશનો ઉદય થયો. ૧૯૨૦થી જોર્ડન બ્રિટનના તાબા હેઠળ હતું. ૨૫ મે, ૧૯૪૬ના રોજ તેણે મુક્તિ મેળવી. કોરિયન દ્વિપકલ્પ પર ૧૯૧૦થી જાપાનનું રાજ હતું. તેનો અંત ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આવ્યો. કોરિયન દ્વિપકલ્પે જાપાનના રાજમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યા બાદ તેનો ઉત્તર ભૂ ભાગ રશિયાએ કબજે કરી લીધો અને દક્ષિણ ભાગ અમેરિકાએ. ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ બન્યો. ૯મી સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ઉત્તર કોરિયા સ્વતંત્ર બન્યું. લેબેનોન ૨૩ વર્ષ સુધી ફ્રાંસના કબ્જા હેઠળ હતું. ૨૨ નવેમ્બર ૧૯૪૩ના રોજ તેને આઝાદી મળી. માલદીવ યુ.કે.ની ગુલામીમાંથી ૨૬મી જૂલાઈ ૧૯૬૫માં મુક્ત થયું. ૧૬મી સદીથી જ ત્યાં પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ વેપારીઓનું આગમન શરૂ થઈ ગયેલું. બ્રિટિશરોએ ૧૭૯૬માં માલદીવમાંથી ડચને હાંકી કાઢી અને અંકુશમાં લઈ લીધું હતું. ઓમાને પોર્ટુગીઝની ગુલામીમાંથી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૬ના રોજ મુક્તિ મેળવી. સિંગાપોર મલય રાજ્યો સાથે જોડાયેલું હતું. ૯મી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ તે સ્વતંત્ર દેશ બન્યો. ભારતની જેમ શ્રીલંકાને પણ વિવિધ યુરોપિયન શક્તિઓએ ધમરોળ્યું હતું. ૧૯મી સદીની શરૂઆતથી તે બ્રિટનના કબજામાં હતું. ૪ ફેબુ્રઆરી ૧૯૪૮ના રોજ તેને ડોમીનિયન રાજ્ય તરીકે મુકિત મળી. ૨૨ મે ૧૯૭૨ના રોજ તે રિપબ્લીક ઓફ શ્રીલંકા બન્યું. બીજા વિશ્વ યુદ્ધ દરિમયાન શ્રીલંકા પશ્ચિમી દેશો માટે મહત્ત્વપૂર્ણ મિલિટરી એર બેઝ હતું. મકાઉ એક સમયે બ્રિટિશ મકાઉ હતું, હોંગકોંગ બ્રિટિશ હોંગકોંગ હતું. આજે આ બંને પ્રાંતો ચીનના તાબામાં છે. સાયપ્રસ એક સમયે બ્રિટિશ સાયપ્રસ હતું. કંબોડિયા અને લાઓસ ફ્રેન્ચ ઈન્ડોચાઈના તરીકે ઓળખાતા. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જાપાનીઝ કોરિયા હતા. શ્રીલંકા બ્રિટિશ સિલોન હતું. મ્યાંમાર બ્રિટિશ બર્મા હતું. ભારત અને પાકિસ્તાન બ્રિટિશ ઇંડિયા હતા. વિયેતનામ પણ ફ્રેન્ચ ઈન્ડોચાઈનાનો ભાગ હતું. ઇન્ડોનેશિયા ડચ ઈસ્ટ ઈન્ડીઝ અને એમ્પાયર ઓફ જાપાન વચ્ચે વહેંચાયેલું હતું. ફિલિપાઈન્સ સ્પેનિશ ઈસ્ટ ઈન્ડીઝ હતું. બીજા વિશ્વ યુદ્ધમાં ઈટલીનો પરાજ્ય થતાં તેણે આફ્રિકામાં ગુલામ બનાવેલા દેશો ઇથિયોપિયા, લિબિયા, એરીટ્રીયા અને સોમાલિયાને મુક્ત કરવા પડયા. ઈથીયોપિયા ૧૯૪૭માં મુક્ત થયું, લિબિયા ૧૯૫૨ની ૧લી જાન્યુઆરીએ આઝાદ થયું, એરીટ્રીયાને ઈથિયોપિયામાં ભેળવી દેવાયું હતું, જેમાંથી તે ૧૯૯૧માં સ્વતંત્ર થયું. મોરોક્કો ૮ વર્ષના યુદ્ધ પછી ૨ માર્ચ ૧૯૫૬ના રોજ ફ્રાંસની ગુલામીમાંથી મુક્ત થયું. બીજા વિશ્વયુદ્ધ પછી અલ્જિરિયા અને ટયુનિશિયાએ પણ ફ્રાંસની ગુલામીમાંથી મુક્તિ મેળવી. ૧૯૬૦માં બેલ્જિયમે કોંગોને સ્વતંત્ર કરી દીધું. પોર્ટુગલે ૧૯૭૪માં આફ્રિકન કોલોનીઓને આઝાદી આપી. ૧૯૫૬થી ૧૯૭૫ વચ્ચે મોરોક્કોના ઉત્તર ભાગ, ગીની અને પશ્ચિમ સહારાને સ્પેનના અત્યાચારી શાસનમાંથી છૂટકારો મળ્યો. ચાર સદીના ઈતિહાસનું વિહંગાવલોકન કરતાં સમજાય છે કે ઔદ્યોગિક ક્રાંતિએ સંસ્થાનવાદનો પાયો નાખ્યો હતો બીજા વિશ્વ યુદ્ધે શોષણની આ ઇમારતને જર્જરિત કરી નાખી. આઝાદ થવું અઘરું છે. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બધા દેશો કંઈ ચાલતા, દોડતા કે ઊડતા શીખી શક્યા નથી. આમાંના ઘણાં ખરા ગૃહયુદ્ધની આગમાં હોમાઈ ગયા છે. ઘણાં બધાં ગોથું ખાઈને એવા પડી ગયા છે કે ક્યારે ઊભા થશે એ કહેવું મુશ્કેલ છે. ગુલામીનો આ ઇતિહાસ સમજાવે છે કે વિશ્વમાં નબળા પર સબળા રાજ કરે છે. ડીકોલોનાઈઝેશન પછી આ સત્ય બદલાય ગયું નથી. આજે પશ્ચિમી દેશો અને ચીન દુનિયા પર પરોક્ષ રીતે રાજ કરી રહ્યા છે. માત્ર દેશ ગુલામીમાંથી મુક્ત થઈ જાય એ પૂરતું નથી. દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવું પડે. ચાહે તે આર્થિક હોય, સામાજિક હોય કે વૈચારિક હોય. જે જૂનું છે અને શ્રેષ્ઠ છે તેને જાળવી રાખવાની સાથે જે નવું છે તેને સમજવા સ્વીકારવા માટે આંખ, કાન અને મગજ ખુલ્લા રાખવા પડે. ભલે આપણે સજ્જન અને ઉદાર છીએ એટલે આપણે વિશ્વ પર રાજ કરવા માગતા નથી, પણ બીજા આપણા પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે રાજ ન કરી જાય તે માટે શક્તિની સાધના જરૂરી છે. આપણે અહિંસાવાદી હોઈએ તો પણ નખ અને ફુંફાડો રાખવા આવશ્યક છે. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ વિજય સરઘસ કાઢયું. તે જોવા માટે મોટી સંખ્યામાં ભારતીયો એકત્રિત થયેલા. એક અંગ્રેજ લેખકે લખ્યું, જેટલા ભારતીયો વિજય સરઘસ જોવા એકત્રિત થયા એટલા યુદ્ધ ભૂમિમાં લડવા આવ્યા હોત તો અમે હારી જાત. આપણે ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોના ગુલામ બન્યા અને ૧૯૪૭માં આઝાદ થયા. એ પછીના ૭૫ વર્ષમાં આપણે શું પ્રાપ્ત કર્યું એ વિચારવાનો આજનો દિવસ છે. ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચવાનું છે અને હજી કેટલું અંતર બાકી છે એનું આત્મ નિરીક્ષણ કરવાનો અવસર છે. ઘણા બધા દેશો કરતા આપણે સારું કરી શક્યા છીએ, કિન્તુ હજી શ્રેષ્ઠ કરવાનું બાકી છે. ૧૬મીથી ૨૦મી સદી દરમિયાન વિશ્વ પર રાજ કરનારા દેશોમાં જબરદસ્ત ઔદ્યોગિક ક્રાંતિ થયેલી. હજારો-લાખોની સંખ્યામાં વૈજ્ઞાાનિક સંશોધનો થયેલાં. આજે પણ વિશ્વ પર રાજ કરતાં અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો આર્થિક અને વૈજ્ઞાાનિક રીતે સમૃદ્ધ છે. તે દર્શાવે છે કે વૈશ્વિક શક્તિ બનવું હોય તો જીવનમાં વૈજ્ઞાાનિક અભિગમ કેળવવો ખૂબ જરૂરી છે. વિજ્ઞાાન અને નવી ટેકનોલોજીની સાધના જ તમને દુનિયા પર રાજ કરવા લાયક બનાવી શકે છે. વિજ્ઞાાન તથા નવી ટેકનોલોજીની સાધના થકી જ આર્થિક સમૃદ્ધિનું શિખર સર કરી શકાય એમ છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આઝાદીના અમૃત મહોત્સવની શુભકામનાઓ. વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા 31 દેશો ક્રમ નામ વર્ષ 1 ભારત 1947 2 પાકિસ્તાન 1947 3 ઓસ્ટ્રેલિયા 1955 4 વિએટનામ 1945 5 શ્રીલંકા 1948 6 ફિલિપાઈન્સ 1946 7 ઓમાન 1956 8 મ્યાંમાર 1948 9 માલદીવ્સ 1965 10 મલેશિયા 1957 11 દક્ષિણ કોરિયા 1948 12 જોર્ડન 1946 13 કંબોડિયા 1953 14 ઈથિયોપિયા 1947 15 લિબિયા 1952 16 મોરોક્કો 1956 17 કોંગો 1960 18 કોમોરોસ 1975 19 ડોમેનિકા 1978 20 પૂર્વ તિમોર 2002 21 એરિટ્રિયા 1991 22 ઈસ્ટવાનિટિ 1968 23 ઘાના 1957 24 ગ્રેનેડા 1974 25 ગુયાના 1966 26 ઈન્ડોનેશિયા 1945 27 ઈઝરાયેલ 1948 28 આઈવરીકોસ્ટ 1960 29 જમૈકા 1962 30 કેન્યા 1963 31 માડાગાસ્કર 1960

ગુજરાત સમાચાર 15 Aug 2021 7:00 am