SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

વડોદરા હોળીની રાત્રે થયેલા રક્ષિતકાંડને એક વર્ષ પૂર્ણ:પીડિત પરિવારોએ મૃતક હેમાલીબેનને શ્રદ્ધાંજલિ આપી, પતિએ કહ્યું; મેં મારું એક અંગ એવી મારી પત્ની ગુમાવી ને રક્ષિત બહાર છૂટો ફરે છે, કડક સજા આપો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ષ 2025માં હોળીની રાત્રે થયેલા રક્ષિત કાંડની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે જે સ્થળે ઘટના બની હતી, તે સ્થળે તમામ પીડિત પરિવારો ભેગા થયા હતા અને મૃતક હેમાલીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી અને હેમાલીબેન સહિત તમામ પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. મૃતક હેમાલી પટેલના પતિ પૂરવ પટેલે જણાવ્યું હતું કે, આ એક વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું છે એ મને જ ખબર છે. અમારી સાથે જે થયું છે એ તદ્દન ખોટું થયું છે. છેલ્લા 10 મહિનામાં મારી જે હાલત થઈ છે એ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારા શરીરમાં ઘણી બધી ઈજાઓ થઈ હતી, જેના કારણે 7થી 8 ઓપરેશન કરાવવા પડ્યા છે. સાચું કહું તો, હું હજુ પણ શારીરિક અને માનસિક રીતે આ પડકારોનો સામનો કરી રહ્યો છું. સૌથી મોટું દુઃખ તો એ છે કે મેં મારા પરિવારનું એક મહત્વનું અંગ (મારી પત્ની) ગુમાવ્યું છે, જે હવે મારી સાથે નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આ ગુનો કર્યો છે, તે રક્ષિત અત્યારે બહાર છૂટો ફરી રહ્યો છે. મારી ન્યાયપાલિકા અને પોલીસને એક જ વિનંતી છે કે તેને બને તેટલી કડક અને જલ્દી સજા મળે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં તેને હજુ સુધી સજા મળી નથી, એ અમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું ઈચ્છું છું કે કોર્ટ તેની જામીન રદ કરે અને તેને એવી સજા આપે કે જે ભવિષ્યમાં એક ઉદાહરણ બને. ટ્રાફિકના નિયમો પણ કડક હોવા જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ નશો કરીને કે બેફામ રીતે ગાડી ચલાવતા ડરે. અમારા જેવા કેટલાય પરિવારો આજે પણ આના કારણે દુઃખ ભોગવી રહ્યા છે. મૃતક હેમાલી પટેલની બહેને જણાવ્યું હતું કે, હું હેમાલીની બહેન છું. આજે હોળીનો તહેવાર છે, પણ અમારે મન આ તહેવાર જેવું કંઈ નથી. અમે આ તહેવાર નથી મનાવી રહ્યા કારણ કે મારી બહેન આજે અમારી વચ્ચે નથી. અમે તેને હજુ પણ સતત યાદ કરીએ છીએ અને તેને ભૂલી શક્યા નથી. આ દુર્ઘટનાને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે કંઈ કડક કાર્યવાહી થઈ કે નથી. પોલીસ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી. અમે હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી બસ એક જ માંગ છે કે જે પણ દોષિત છે, તેને જલ્દીમાં જલ્દી સજા મળે. આ મામલે બને તેટલી ઝડપથી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી મારી બહેનને સાચો ન્યાય મળી શકે. 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. રક્ષિત અકસ્માત કર્યા બાદ કારમાંથી નીચો ઊતર્યો હતો અને Another Round - Another Roundની બૂમો પાડવા લાગ્યો હતો. આ ઉપરાંત તે 'નિકિતા મેરી...' એવી પણ બૂમો પાડતો હતો. ત્યારબાદ Another Round અને નિકિતાને લઈને રહસ્ય સર્જાયું હતું. કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસીયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી જોવા મળી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ-27A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા. ઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી, પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 140 હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં વડોદરા કોર્ટના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલ દ્વારા બંને વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રક્ષિતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી હતી, જેથી હાલ રક્ષિત જેલમાંથી બહાર છે

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 1:20 am

રાજકોટમાં હોળીના પર્વમાં જ હિન્દુ - મુસ્લિમ યુવાનો સામસામે:ભગવતીપરામાં હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવાનોને સાઇડમાં જવાનું કહેતા મામલો બિચકયો, પોલીસે 3 ની અટકાયત કરી

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઇડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા તેઓ સામસામે આવી ગયા હતા. જોકે સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન DCP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનોને છુટ્ટા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો. DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, ભગવતી પરા વિસ્તારમાં હોલિકા દહન થઈ રહ્યું હતું તે દરમિયાન અન્ય ધર્મના લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે હિન્દુ ધર્મના યુવાનોએ તેઓને સાઈડમાં રહેવા માટેનું કહેતા બોલાચાલી થઈ હતી. જે બાદ 3 યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હોલિકા દહન દરમિયાન ત્યાંથી પસાર થતા મુસ્લિમ યુવકોને સાઇડમાં જવાનું કહેવામાં આવ્યુ હતુ. જોકે તેઓએ જગ્યા ન આપતા ઘર્ષણ સર્જાયુ હતુ. પરંતુ સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવાનોને સ્થાનિકો દ્વારા છુટા પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.જે બાદ પોલીસ દ્વારા 3 જેટલા યુવાનોને રાઉન્ડ અપ કરી તેઓની અટકાયત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 12:46 am

'પૂનમ ભદોરિયાએ ઘેલાણી સાથેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આર્થિક એક્સ્ટોર્શન કર્યું'તું':તુષાર ઘેલાણી આપઘાત કેસમાં સરકારી વકીલની દલીલ, જામીન અરજી પર આગામી દિવસોમાં ચુકાદો આવી શકે

સુરતના જાણીતા તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં જેલમાં બંધ આરોપી પૂનમ ભદોરિયાએ મુક્તિ માટે જામીન અરજી કરી હતી. આ મામલે બચાવ પક્ષના એડવોકેટ વિનય શુક્લાની રજૂઆતો બાદ, આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. સરકાર પક્ષે આરોપીના જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હાલ અત્યંત નાજુક તબક્કામાં છે અને આવા સમયે આરોપીને મુક્ત કરવાથી કેસ પર અસર પડી શકે તેમ છે. 'નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું'સરકારી વકીલે કોર્ટ સમક્ષ મહત્વનું પાસું રજૂ કરતા જણાવ્યું કે, મૃતક તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ વચ્ચે મિત્રતા હોવી એ કોઈ ગુનો નથી, પરંતુ આરોપીએ આ સંબંધનો દૂરોપયોગ કર્યો છે. દલીલ મુજબ, પૂનમ ભદોરિયાએ તુષાર ઘેલાણી સાથેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ રીતે આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું. આરોપીએ પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામે આર્થિક લાભ મેળવવા માટે મૃતક પર દબાણ બનાવ્યું હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રોપર્ટી અને સ્કૂલમાં ભાગીદારીનો વિવાદકોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આરોપીએ મિત્રતાના ઓઠા હેઠળ તુષાર ઘેલાણી પાસેથી વખતો-વખત કિંમતી પ્રોપર્ટીઓ પોતાના નામે કરાવી લીધી હતી. આટલું જ નહીં, 'બ્લ્યુ પેપીલોન' સ્કૂલમાં ભાગીદારી મેળવવાની સાથે સાથે શહેરની બે મહત્વની દુકાનો પણ પોતાના નામે લખાવી લીધી હોવાની હકીકતો સામે આવી છે. આ આર્થિક માનસિક ત્રાસને કારણે જ તુષારે અંતિમ પગલું ભર્યું હોવાનું સરકાર પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું. કોર્ટ આગામી દિવસોમાં ચુકાદો આપી શકે આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન મૂળ ફરિયાદીના પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા અને તપાસમાં ખુલેલી વિગતોને ટેકો આપ્યો હતો. જામીન અરજી પરની આ દલીલો પૂર્ણ થયા બાદ હવે કોર્ટ આગામી દિવસોમાં ચુકાદો આપી શકે છે. સુરતની જનતા અને કાનૂની જગતની નજર હવે કોર્ટના નિર્ણય પર ટકેલી છે કે શું પૂનમ ભદોરિયાને રાહત મળશે કે જેલવાસ ચાલુ રહેશે. શું હતો સમગ્ર મામલો? સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. એ બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટુકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. કોણ હતા તુષાર ઘેલાણી? તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા. આ પણ વાંચો- દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ, ઘરે મંડપ પણ રોપાઈ ગયાં હતાં આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત આ પણ વાંચો: 'મિ.તુષાર ઘેલાણી, તમે હવે મજા લો અને ખુશ થાઓ', દીકરીએ પિતાને કરેલા મેસેજની વ્હોટ્સએપ ચેટ સામે આવી આ પણ વાંચો:- બિલ્ડર ઘેલાણીની 'મહિલામિત્ર'એ સ્કૂલ વહીવટમાં મોટો ખેલ પાડ્યો

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 12:05 am

મહિલા ગેંગે જ્વેલર્સની નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા, CCTV:ગ્રાહકના સ્વાંગમાં ચાર મહિલાઓ દુકાનમાં ઘૂસી, સોનાની ચુની-કડી લઈ ફરાર; બે બહેનોની ધરપકડ

અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. બંને મહિલાઓની સાથે અન્ય બે મહિલાઓ પણ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશતી અને દુકાનદાર સોનાના દાગીના બતાવે ત્યારે તેમને વાતોમાં રાખી અથવા અન્ય બહાને નજર ચૂકવી દાગીના ચોરી કરતા હતા. નરોડા પોલીસે સોનાની ચુનીઓ અને કડી સહિત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાર મહિલાઓ એક બાળક સાથે જ્વેલર્સની દુકાનમાં આવીશહેરના નરોડા વિસ્તારમાં આવેલા જે.જે જ્વેલર્સ નામની દુકાનમાં 24 ફેબ્રુઆરીના રોજ ત્રણેક વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ એક બાળક સાથે દુકાનમાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ આવી હતી. જે.જે જ્વેલર્સમાં હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુની બધું બતાવ્યું હતું. ચારેય મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરીત્યાર બાદ અલગ અલગ વસ્તુ બતાવવાનું કહ્યું અને કારીગર પાસે પાણી મંગાવ્યું હતું. આ દરમિયાન બીજા ગ્રાહક આવતા દુકાનદાર તેમને પણ વસ્તુ બતાવવા હતા, ત્યારે ચારેય મહિલાઓ તમારે વાર લાગશે કહી નીકળી ગઈ હતી. જોકે, દુકાનદારની દીકરીએ ચુનીઓના પેકેટની જ્યારે તપાસ કરી તો તેમાંથી કેટલીક કડી અને ચુની જોવા મળી નહોતી. ચારેય મહિલાઓ નજર ચૂકવીને ચોરી કરી જતી રહી હતી. નરોડા પોલીસે બે મહિલાઓની ધરપકડ કરીજ્વેલર્સના માલિક દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે જ્વેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને તેના આધારે શહેરના એસ.જી. હાઈવે પર થલતેજના પેલેડિયમ મોલ પાસે બ્રિજ નીચે રહેતી કોયલ દેવીપુજક અને ગીતા દેવીપુજક નામની બે મહિલાઓની ધરપકડ કરી હતી. બે મહિલાઓ ગર્ભવતી હોવાથી નોટિસ આપીનરોડા પાલીસ સ્ટેશનના પીઆઇ પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે ચાર મહિલાઓ આવી હતી. જેમાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેના આધારે બે મહિલાઓની ધરપકડ કરાઈ છે. અન્ય બે મહિલાઓ ગર્ભવતી હોવાને કારણે તેમને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોનાની ચુનીઓ અને કડી વગેરે કબજે કરાઈહાલ બે આરોપી મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલમાં ગયેલી સોનાની ચુનીઓ અને કડી વગેરે કબજે કરવામાં આવ્યું છે. આરોપી મહિલાઓ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકોના સ્વાંગમાં જઈ વાતોમાં રાખીને સોનાના દાગીનાની ચોરી કરી છે. બે મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 12:05 am

કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુના પગે પડી:કહ્યું-'ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણાએ કરી પણ મેળ ન આવ્યો', જૂનાગઢમાં સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન

જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધોકીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો. તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે. કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો આ સમાધાનથી તમામ વાદ-વિવાદનો અંત આવ્યો છે. આ ઘટના બાદ ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. સો.મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ લખી હતીમૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં હતા. તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાની પાછળના હું બધા રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું. માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? કીર્તિ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે લખ્યું છે કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? મારી સાથે બીજી અનેક યુવતીઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, શું તેઓ બાપુની સગી વહાલી હતી? 'હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું'પોતાના બચાવમાં કીર્તિએ વધુમાં જણાવ્યું હતું કે હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું અને ભવિષ્યમાં સંન્યાસ પણ લઈ શકું છું. તેણે બે વર્ષ જૂના વીડિયો પણ શેર કર્યા છે, જેમાં અન્ય લોકો પણ સ્નાન કરતા દેખાય છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે બીજા લોકો સ્નાન કરે ત્યારે કેમ કોઈ વિવાદ નથી થતો? શું આ બધું માત્ર કીર્તિ પટેલને બદનામ કરવાનું કાવતરું છે? જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. 23 ફેબ્રુઆરીએ સાંજના કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં કોર્ટે દ્વારા ખંડણી કેસમાં કીર્તિના જામીન મંજૂર કર્યા છે. કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા હંમેશાં કોઈ ને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે. ડિસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતાં જેલની બહાર આવી ધુરંધર મૂવીના સોંગ પર રીલ બનાવી હતી. આ પણ વાંચો - મહિલા PIની કીર્તિ સામે FIR, ભવનાથના મેળામાં તોછડાઈ કરી હતી:'ઈન્દ્રભારતીની સચ્ચાઈ પ્રૂફ સાથે કહીશ, ભગવા પાછળનાં બધાં રહસ્ય જાણું છું', યુટ્યૂબરની ઇન્સ્ટા પોસ્ટ

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 12:05 am

વડોદરાની દર્શનમ ઓએસિસ સોસાયટીમાં હોલિકા દહન:ધાર્મિક ભાવના અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો તહેવાર

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી દર્શનમ ઓએસિસ સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ધાર્મિક ભાવના અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસર પર ભવ્ય અને ધાર્મિક પરંપરાઓ અનુસાર વિશેષ આયોજન કરાયું હતું. હોલિકા દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે અસત્ય પર સત્યની, અંધકાર પર પ્રકાશની અને ખરાબ પર સારા વિચારોની જીતનું પ્રતીક મનાય છે. આ તહેવાર ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવાનો સંદેશ આપે છે. આ અવસરને ધ્યાનમાં રાખીને સમૂહ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ વડીલો, માતાઓ-બહેનો, યુવાનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પાવન તહેવારની ધાર્મિક મહત્તાને ઉજાગર કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિ મુજબ પૂજન-અર્ચન બાદ હોલિકા દહન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીતરિવાજોનું પાલન કરાયું હતું.આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. હોલિકા દહન માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે તે બાબત પર વિશેષ ધ્યાન અપાયું હતું. તેમજ અગ્નિસુરક્ષા માટે જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પાવન તહેવાર સમાજમાં ભાઈચારો, પ્રેમ, એકતા અને સુખ-સમૃદ્ધિનો સંદેશ ફેલાવે તેવી શુભકામનાઓ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 11:22 pm

વડોદરાની માધવ રેસી કમ પ્લાઝામાં હોલિકા દહન ઉજવાયું:રહીશોએ ધાર્મિક ભાવના સાથે તહેવારની ઉજવણી કરી

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી માધવ રેસી કમ પ્લાઝા સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. સોસાયટીની કારોબારી સમિતિ અને બાળકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ તહેવારની તૈયારીના ભાગરૂપે, સોસાયટીના રહીશો દ્વારા લાકડાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેની યોગ્ય ગોઠવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની વ્યવસ્થામાં પણ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 7:00 કલાકે ભૂદેવ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે હોળીકાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોસાયટીના તમામ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે વિધિપૂર્વક હોળીકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાના બાળકો તેમજ સોસાયટીના ભાઈઓ-બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સૌએ પોતાના અને સમાજના સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.હોળીકા દહન બાદ સોસાયટીના રહીશોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને આનંદભેર પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 11:01 pm

હોળી-ધુળેટી અનેં રમજાન માસને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:ACP, DySP અને પીઆઇ સહિતનો કાફલો શહેરના સંવેદનસિલ વિસ્તારના માર્ગો પર નીકળ્યો

ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસવડા દ્વારા નિલમબાગ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારો દરમિયાન લોકો શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં ઉજવણી કરી શકે તે હેતુસર ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ધાર્મિક સ્થળોની મુલાકાત લીધીઅલ્કા ટોકીઝ, શેલરશા ચોક, આંબા ચોક, ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઇબ્રેરી અને હલુરિયા ચોક સુધી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એસપી નિતેશ પાંડે, સિટી ડીવાયએસપી, સહિત પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા તેમજ રૂટ પર આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:58 pm

ICCCમાં રિવ્યૂ બેઠકમાં કમિશનર એમ નાગરાજ એક્શન મોડમાં:મંજૂરી વગર બેનર-હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીઓ સામે કડક કાર્યવાહીના આદેશ

સુરત મહાનગરપાલિકાની મિલકતો, સ્ટ્રીટ લાઈટના પોલ અને વૃક્ષો પર મંજૂરી વગર ઠેર-ઠેર લાગેલા ગેરકાયદે જાહેરાતોના બોર્ડને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને લાલ આંખ કરી છે. સોમવારે ICCC ખાતે મળેલી રિવ્યૂ બેઠકમાં કમિશનરે તમામ ઝોનના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે શહેરમાં ગેરકાયદે બેનરોની ભરમાર જોવા મળી, ત્યારે કમિશનરે ગંભીર બેદરકારી બદલ અધિકારીઓને ઉધડા લીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે આવી ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં. બંધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વહેલી તકે કાર્યરત કરવા સૂચનાબેઠક દરમિયાન કમિશનરે માત્ર જાહેરાતો જ નહીં, પરંતુ શહેરના અન્ય મહત્વના પ્રકલ્પો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સ્પોર્ટ્સ પોલિસીના અમલીકરણ અને ખાસ કરીને વરાછા તેમજ લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વહેલી તકે કાર્યરત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને શહેરની સાફ-સફાઈ અને સુંદરતા પર વિશેષ ફોકસ કરવા તમામ ઝોનલ અધિકારીઓને આદેશ અપાયા હતા. એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ કરવા કડક સૂચનાપ્રેઝન્ટેશન દરમિયાન ફૂટપાથ રિપેરિંગ અને વોટર ટેબલ સેટિંગ જેવી કામગીરીના ફોટાઓમાં ગેરકાયદે પોસ્ટરો દેખાતા કમિશનરનો મિજાજ તેજ થયો હતો. તેમણે દરેક ઝોનને ઓછામાં ઓછા 10 એવા કેસ શોધવા જણાવ્યું હતું જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોય. કમિશનરે શરૂઆતમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ એજન્સીઓ સામે સીધી પોલીસ ફરિયાદ કરવાની કડક સૂચના આપી હતી, જેનાથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મંજૂરી વગર જાહેરાતો કરતી એજન્સીઓમાં ફફડાટઅધિકારીઓની રજૂઆત બાદ અંતે કમિશનરે થોડું નરમ વલણ અપનાવતા હાલ પૂરતું દંડકીય કાર્યવાહી કરી એજન્સીઓને અંતિમ ચેતવણી આપવા સંમતિ દર્શાવી હતી. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં આવે, તો કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધી જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી મંજૂરી વગર જાહેરાતો કરતી એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:51 pm

સ્વચ્છતા સર્વેક્ષણ પહેલા કમિશનરનો સપાટો:માન દરવાજા EV સ્ટેશનની દુર્દશા જોઈ કમિશનરે જવાબદાર અધિકારીઓને ફોન પર જ ઉધડો લીધો

સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરમાં આગમન કરે તે પૂર્વે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. શહેરને સાફ-સુથરું બતાવવા અને રેન્કિંગમાં મોખરે રાખવા માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. સોમવારે વહેલી સવારથી કમિશનરે 'ફિલ્ડ માર્શલ' બનીને શહેરના વિવિધ વિસ્તારોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ નિરીક્ષણ દરમિયાન પાલિકાના પોતાના જ પ્રોજેક્ટ્સની કફોડી હાલત જોઈને કમિશનરનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સરકારી મિલકતો પર ગંદકીના થરરિંગરોડ બ્રિજ નીચે આવેલા માન દરવાજા ખાતેના અદ્યતન EV ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. લાખોના ખર્ચે બનેલા આ સ્ટેશનમાં જાળવણીના અભાવે મશીનરી પર ધૂળના જાડા થર જામ્યા હતા અને પરિસરમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ સ્થિતિ જોઈને કમિશનરે તત્કાલ સ્ટ્રીટ લાઈટ વિભાગના જવાબદાર અધિકારીઓને ફોન પર જ ફટકાર લગાવી હતી. આરોગ્ય વિભાગ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકીકમિશનરે અધિકારીઓને ખખડાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પાલિકા પોતાની સરકારી મિલકતોની જ જાળવણી કરી શકતી નથી, તો સામાન્ય જનતાને સ્વચ્છતાનો સંદેશ કેવી રીતે આપી શકાશે? તેમણે આરોગ્ય વિભાગ સામે પણ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, કારણ કે જાહેર સ્થળોની સફાઈની જવાબદારીમાં મોટી ચૂક જોવા મળી હતી. સુરતમાં 81 હજારથી વધુ EV છતાં સ્ટેશનો ધૂળધાણીસુરત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. હાલમાં સુરતમાં આશરે 81,114 જેટલા EV વાહનો નોંધાયેલા છે. આ વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ શહેરમાં કુલ 50 જેટલા ચાર્જિંગ પોઈન્ટ્સ ઊભા કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આમાંથી 8 પોઈન્ટ એવા છે જ્યાં આખા મહિનામાં માંડ એક કે બે કાર ચાર્જિંગ માટે આવે છે. ચાર્જિંગ સ્ટેશનો ખાલી રહેવા પાછળના કારણોપાલિકાના એનર્જી એફિશિયન્સી સેલના આંકડા મુજબ, જાહેર સ્ટેશનો પર ચાર્જિંગનો દર ઘણો ઊંચો છે. પરિણામે વાહન માલિકો જાહેર સ્ટેશનને બદલે ઘરે વાહન ચાર્જ કરવાનું વધુ પસંદ કરે છે. માન દરવાજા જેવી સ્થિતિ અન્ય સ્થળોએ હોવાને કારણે વાહન ચાલકો ત્યાં જવાનું ટાળે છે. યોગ્ય જાળવણી અને પ્રચારના અભાવે લાખોના ખર્ચે ઉભા કરાયેલા આ સ્ટેશનો 'શોભાના ગાંઠિયા' સમાન બની રહ્યા છે. જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશેકમિશનરની આ મુલાકાત બાદ સમગ્ર પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્વચ્છતા સર્વેક્ષણ નજીક હોવાથી હવે તમામ ઝોનના અધિકારીઓ પોતાના વિસ્તારમાં આવેલી સરકારી મિલકતો અને જાહેર સ્થળોની સફાઈ પાછળ દોડતા થયા છે. કમિશનરે આદેશ આપ્યો છે કે, તમામ પ્રોજેક્ટ્સ અને સ્ટેશનોની નિયમિત સફાઈ થવી જોઈએ, અન્યથા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:48 pm

AAP કોર્પોરેટરનો સુરત મ્યુ. કમિશનરને પત્ર:રચનાબેને લખ્યું- શબવાહિનીઓની અછતથી સ્વજન ગુમાવનાર પરિવારો પરેશાન, દરેક ઝોન કે વોર્ડ વાઈઝ ફાળવવામાં આવે

સુરત મહાનગરપાલિકા એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરી રહી છે, તો બીજી તરફ શહેરની પ્રાથમિક સુવિધાઓમાં ગંભીર છીંડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગમાં વહીવટી તંત્રની નિષ્ફળતા હવે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ બાબતોમાં પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં હાલમાં શબવાહિનીઓની અછત છે, જેના કારણે મૃતકોના પરિવારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. મહાનગરપાલિકા પાસે માત્ર 19 શબવાહિનીઓ જ ઉપલબ્ધસુરત શહેરની વસ્તી 70 લાખને વટાવી ગઈ છે, પરંતુ તેની સામે મહાનગરપાલિકા પાસે માત્ર 9 પોતાની અને 10 કોન્ટ્રાક્ટ પર એમ મળીને કુલ 19 શબવાહિનીઓ જ ઉપલબ્ધ છે. શહેરના વિસ્તાર અને મૃત્યુદરને જોતા આ સંખ્યા અત્યંત ઓછી છે. જ્યારે કોઈ નાગરિક ટોલ-ફ્રી નંબર 102 પર સંપર્ક કરે છે, ત્યારે મોટાભાગે 'વાહન ઉપલબ્ધ નથી' અથવા 'વાહન આવતા 2-3 કલાક લાગશે' તેવો જવાબ મળે છે. રચનાબેન હીરપરાની આકરી પ્રતિક્રિયા અને રજૂઆતવિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ આ બાબતે મનપા તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં તંત્ર દાટ વાળી રહ્યું છે. સ્વજનના મૃત્યુના સમયે પરિવાર પહેલેથી જ આઘાતમાં હોય છે, તેવામાં શબવાહિની માટે કલાકો સુધી રઝળપાટ કરવો પડે તે માનવતાની દ્રષ્ટિએ પણ શરમજનક છે. નવી 10 થી 15 શબવાહિનીઓ ખરીદવામાં આવેતેમણે કમિશનરને પત્ર લખી માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે નવી 10 થી 15 શબવાહિનીઓ ખરીદવામાં આવે અથવા કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે. શબવાહિનીઓને સેન્ટ્રલાઈઝ રાખવાને બદલે દરેક ઝોન કે વોર્ડ વાઈઝ ફાળવવામાં આવે, જેથી જે-તે વિસ્તારમાં ઝડપથી સેવા પૂરી પાડી શકાય અને કોઈપણ કોલ આવ્યા બાદ વધુમાં વધુ 30 થી 45 મિનિટમાં વાહન ઘટનાસ્થળે પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક નક્કર એક્શન પ્લાન જાહેર કરવામાં આવે અને તેની અમલવારીનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ થાય. પરિવારોએ ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ચૂકવવા પડ્યાશહેરમાં અનેક કિસ્સાઓ એવા બન્યા છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી એમ્બ્યુલન્સના મોંઘા ભાડા ચૂકવવા પડ્યા છે અથવા રિક્ષા કે અન્ય વાહનોમાં પાર્થિવ દેહને લઈ જવાની નોબત આવી છે. 102 નંબરની સેવા માત્ર કાગળ પર જ કાર્યક્ષમ હોય તેવું જણાઈ રહ્યું છે. રચનાબેને વધુમાં ઉમેર્યું હતું કે, આ મુદ્દો માત્ર વહીવટી નથી પણ ભાવનાત્મક છે. તંત્રએ તાત્કાલિક જાગીને આ સંવેદનશીલ વિષય પર ધ્યાન આપવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:43 pm

આનંદપુરાકંપામાં હોલિકા દહન:ગ્રામજનોએ પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી

આનંદપુરાકંપા ગામમાં હોલિકા દહનનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ ગામમાં 65 વર્ષ જૂની પરંપરા મુજબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.આ પરંપરાગત ઉજવણી લગભગ પાંસઠ વર્ષથી ચાલી આવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં ધાણી, ખજૂર અને શ્રીફળ લઈને હોલિકા માતાની પ્રદક્ષિણા કરી હતી. વડીલો, માતાઓ, બહેનો અને બાળકો સહિત સૌએ હોલિકા માતાની પ્રદક્ષિણા કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન શ્રીફળને હોળીમાં હોમવામાં આવ્યું હતું.ઉજવણીના અંતે, સૌ ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાળકોએ વિવિધ રમતો રમીને આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:38 pm

વલસાડ જિલ્લામાં હોલિકા દહન કરાયું:જ્વાળાઓની દિશા પરથી આગામી વર્ષનું અનુમાન

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધિવત પૂજા-અર્ચના બાદ હોલિકા પ્રગટાવવામાં આવી હતી. સ્થાનિક લોકો અને નિષ્ણાતો હોલિકાની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવે છે. વલસાડ જિલ્લાના તમામ વિસ્તારો અને ફળિયાઓમાં સ્થાનિક મંડળો દ્વારા હોલિકા દહન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને લોકોએ ભાગ લીધો હતો. હોલિકા દહન બાદ મહિલાઓએ પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે હોલિકાની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન મનમાં રહેલી વેરભાવનાને હોલિકામાં બાળીને આગામી વર્ષ સુખમય અને ખુશીથી વીતે તેવી મનોકામના કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:17 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગમાં અધિકારીઓને જાહેરમાં ફટકાર્યા:જીવામૃત મુદ્દે ખેડૂતોની અજાણતા પર ખેતીવાડી વિભાગની પોલ ખુલી

ડાંગ જિલ્લામાં યોજાયેલા ખેડૂત પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ વિભાગના અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગુજરાતના પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે ઓળખાતા ડાંગમાં ખેડૂતો જીવામૃત બનાવવાની પદ્ધતિથી અજાણ હોવાનું સામે આવતા રાજ્યપાલે આ કડક વલણ અપનાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જેઓ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે, તેઓ ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત બનાવવાના સરકારના આહવાન બાદ સમયાંતરે ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા રહે છે. રવિવારે આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આધારસ્તંભ ગણાતા ‘જીવામૃત’ વિશે સવાલો પૂછ્યા હતા. આશ્ચર્યજનક રીતે, મોટાભાગના ખેડૂતો જીવામૃત કેવી રીતે બનાવવું તે જાણતા ન હતા. આ પરિસ્થિતિને ગંભીર ગણીને રાજ્યપાલે ખેતીવાડી વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમની શિથિલતા ખુલ્લી પડી હતી. રાજ્યપાલે સ્પષ્ટ સૂચના આપી કે કૃષિ સહાયકોને તાત્કાલિક જીવામૃત તૈયાર કરવાની સચોટ તાલીમ આપવામાં આવે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે, “જો કર્મચારીઓ યોગ્ય રીતે કામ ન કરી શકે અથવા ખેડૂતો સુધી જ્ઞાન પહોંચાડી ન શકે, તો તેમને બદલી નાખો.” તેમણે પાયાના સ્તરે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન કેમ નથી પહોંચતું તેની જવાબદારી નક્કી કરવાની પણ તાકીદ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન આત્મા, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ હાજર હતા અને ખેડૂતોની અજાણતા સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. રાજ્યપાલના સીધા હસ્તક્ષેપ બાદ જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્યપાલના આ કડક વલણને પગલે હવે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જાગૃતિ અભિયાન વધુ તેજ બનવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:06 pm

સોમનાથમાં વૈદિક હોલિકા દહનનું આયોજન:પરંપરા, પર્યાવરણ અને આધ્યાત્મનો સંગમ જોવા મળ્યો

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હોલિકા પર્વે વૈદિક પરંપરા મુજબ હોલિકા દહનનું આયોજન કરાયું હતું. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા અને પર્યાવરણનો સંતુલિત સંગમ જોવા મળ્યો. સામાન્ય રીતે હોલિકા દહનમાં લાકડાનો વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ ટ્રસ્ટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગૌશાળાની ગીર ગાયના ગોમય (છાણા), ગીર ગાયનું ઘી, સીમિત સમિધ કાષ્ઠ, તલ, ધાણી, સાત પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓનો ઉપયોગ કર્યો હતો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હોલિકા પ્રાગટ્ય અને દહન કરાયું. વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ 21 પ્રકારના આહુતિ દ્રવ્યોના થાળ સાથે ઢોલ, શરણાઈ અને ડમરૂના નાદ સાથે વૈદિક અર્પણ યાત્રા યોજી હતી. પૂજારીઓના માર્ગદર્શન હેઠળ વિધિવત પૂજન બાદ હોલિકા દહન કરાયું. આ આયોજનને પર્યાવરણમૈત્રી અને આયુર્વેદિક દૃષ્ટિએ લાભદાયી ગણાવવામાં આવ્યું. ગોમય અને ઔષધિઓના દહનથી પર્યાવરણ શુદ્ધ થતું હોવાની શાસ્ત્રોક્ત માન્યતા પણ રજૂ કરાઈ. ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન આહુતિની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. Somnath.org મારફતે માત્ર ₹21 ન્યોછાવર કરીને દેશ-વિદેશના હજારો પરિવારો ઘરે બેઠા હોલિકામાં પવિત્ર આહુતિ અર્પણ કરી શક્યા હતા. તેમણે લાઇવ દર્શનનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો, જેને ભક્તો અને ખાસ કરીને યુવાઓમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 10:02 pm

હિંમતનગરમાં હોળી દહન:વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે હોલિકા માતાની પ્રદક્ષિણા

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે સાંજે 7.15 કલાક બાદ પરંપરાગત રીતરિવાજો અનુસાર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પૂનમ પ્રારંભ થયા બાદ શુભ મુહૂર્તમાં પૂજન-અર્ચન સાથે હોલિકા માતાનું દહન કરાયું હતું અને શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી હતી. હિંમતનગરના મહેતાપુરા, મોતીપુરા, પોલોગ્રાઉન્ડ, ન્યાય મંદિર વિસ્તાર, ટાવર ચોક, મહાવીરનગર પંચદેવ મંદિર, બેરણા રોડ, શ્રીનગર, શાંતિનગર, ઇન્દ્રનગર, શારદાકુંજ અને પ્રેરણા પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા હોલિકા દહનનું આયોજન કરાયું હતું. હોલિકા દહન બાદ મહિલાઓ અને પરિવારો દ્વારા કંકુ વડે પૂજા કરવામાં આવી હતી. તેમણે પાણીનો લોટો તથા જારની ધાણી અર્પણ કરી હતી. ત્યારબાદ પાંચ અને સાત આંટાની પ્રદક્ષિણા કરીને હોલિકા માતાના આશીર્વાદ મેળવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી દહનને લઈને ભક્તિમય માહોલ છવાયો હતો. શ્રદ્ધાળુઓએ શાંતિ, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:55 pm

ગોધરાના પટેલવાડામાં કોમી એકતાના દર્શન:72 વર્ષથી હિન્દુ-મુસ્લિમ દાઉદી વ્હોરા સમાજ સાથે મળી ઉજવે છે હોલિકા દહન

ગોધરાના પટેલવાડા ચોક વિસ્તારમાં છેલ્લા 72 વર્ષથી કોમી એકતાના પ્રતીકરૂપ હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરામાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ દાઉદી વ્હોરા સમાજના લોકો પણ ઉત્સાહભેર ભાગ લે છે. સ્થાનિકો આ હોળીને 'કોમી એકતાની હોળી' તરીકે ઓળખાવે છે. આ ઉત્સવની વિશેષતા એ છે કે અહીં માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ દાઉદી વ્હોરા સમાજના સભ્યો પણ પોતાના પરિવાર સાથે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને હોલિકા દહનની ઉજવણી કરે છે. દાઉદી વ્હોરા બિરાદરોમાં એવી અતૂટ માન્યતા પ્રવર્તે છે કે હોળીની પ્રદક્ષિણા કરવાથી અને તેની અગન જ્વાળાઓના દર્શન કરવાથી શરીરના તમામ રોગ અને દુઃખ-દર્દ દૂર થાય છે. આ જ શ્રદ્ધા સાથે તેઓ વર્ષોથી હોળીની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:41 pm

ચંદ્રુમાણામાં પરંપરાગત રીતે હોલિકા દહન:મુખી પરિવારે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોડી સાંજે મંગલ મુહૂર્તમાં હનુમાનજી મંદિર પાસે હોલિકા દહન કરાયું હતું. આ દિવસે પ્રથમ દીકરાના ઝેમ પણ પરિવારો દ્વારા કરાયા હતા. ગામની વર્ષો જૂની પરંપરા મુજબ, રામજી મંદિર વાસમાં રહેતા મુખી પરિવારના ઘરેથી ઢોલના નાદ સાથે હોળી યાત્રા નીકળી હતી. આ યાત્રા હનુમાનજી મંદિરે પહોંચી હતી.અહીં મુખી પરિવારના અમરતભાઈ પટેલ દ્વારા પંડિત કિશોરભાઈ ઠાકરના મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ અગ્નિ પ્રગટાવી હોલિકા દહન કરાયું હતું. આ પ્રસંગે ગામના પ્રબુદ્ધો દ્વારા વેદોક્ત મંત્રો અને શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું. હોલિકા દહન બાદ પ્રદક્ષિણા શરૂ થઈ હતી.જે નાના દીકરાઓની પ્રથમ હોળી હતી, તેમને ભક્ત પ્રહલાદની જેમ ભગવાન નારાયણના આશીર્વાદ મળે તે હેતુથી હોલિકા દર્શન કરાવવામાં આવ્યા હતા. હોલિકા માટે રોહિત દિનુભાઈ રાવલ, બકાજી ચમનજી દરબાર અને વસંતભાઈ પ્રજાપતિ દ્વારા કાષ્ટ દાન કરવામાં આવ્યું હતું.ગામના તમામ જ્ઞાતિના લોકોએ હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. ગામલોકોએ શ્રીફળ સહિતની ચીજવસ્તુઓ હોલિકામાં હોમીને સંતાનો, પરિવાર અને ગામ સમાજ માટે શુભ મંગલની પ્રાર્થના કરી હતી. ઝેમ નિમિત્તે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:35 pm

વેરાવળમાં ભોઇ સમાજની 30 ફૂટની કાલ ભૈરવ પ્રતિમા:હોળી-ધુળેટી પર્વે દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ ઉમટ્યો

વેરાવળ શહેરના શારદા સોસાયટી વિસ્તારમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 30 ફૂટ ઊંચી કાલ ભૈરવ દાદાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આકર્ષક પ્રતિમાના દર્શનાર્થે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ વિશાળ પ્રતિમા પથ્થર, માટી, વાંસ અને કાગળ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને એકથી દોઢ મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. તેને રંગબેરંગી કાગળ, ફૂલો અને આભૂષણોથી સજાવવામાં આવી છે, જે ભક્તિભાવનું કેન્દ્ર બની છે. માનતા પૂર્ણ થતાં અનેક માતાઓ પોતાના નવજાત શિશુઓને ભૈરવનાથ દાદાના ચરણોમાં લગાડવા માટે લાંબી કતારોમાં ઊભી રહી હતી. ભક્તોમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી. સ્થાનિક માન્યતા અનુસાર, કાલભૈરવ કળિયુગના જાગૃત દેવતા છે અને તેમની આરાધનામાં કઠોર નિયમો નથી. વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન થાય છે અને આ કાર્યક્રમ ધુળેટીના મધ્યાહન સુધી ચાલુ રહે છે. વેરાવળ-પાટણ શહેર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી હજારો ભક્તો દર વર્ષે અહીં આવી માનતા માને છે અને માનતા ઉતારે છે. ભોઇ સમાજની આ પ્રાચીન પરંપરા ધાર્મિક આસ્થાની સાથે સામૂહિક એકતાનું પણ પ્રતિક બની રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:32 pm

હનીટ્રેપ-ખંડણી કેસમાં બે ફરાર આરોપી ઝડપાયા:એક કરોડની ખંડણીના ગુનામાં ₹23.75 લાખ રોકડ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75 લાખ રોકડા, બે મોબાઈલ ફોન અને એક બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે LCB ને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમો સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કરોડ રૂપિયાની ખંડણીના હનીટ્રેપ અને અપહરણના ગુનામાં પકડવાના બાકી આરોપીઓને શોધી રહી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં અરબાઝખાન હયાતખાન મલેક (રહે. અખીયાણા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) અને અમનખાન મહેબુબખાન મલેક (રહે. ઇંગરોડી, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે. આ ગુનામાં કુલ છ આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક, સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક, આશીફખાન મોહબતખાન મલેક, અરબાઝખાન હયાતખાન મલેક અને અમનનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹23,75,000 રોકડા, ₹40,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹5,00,000ની કિંમતની એક બ્રેઝા ગાડી જપ્ત કરી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ₹95,50,000 રોકડા રિકવર કરવામાં આવ્યા છે. ઉપરાંત, પેરોલ ફર્લો સ્ક્વોડે મુળી પોલીસ સ્ટેશનના ચાર વર્ષ જૂના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પણ પકડી પાડ્યો છે. જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમના નાસતા ફરતા ફરાર હોય તેવા આરોપી પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા.તે દરમ્યાન પો.હેડ.કોન્સ.-મુન્નાભાઈ નાનજીભાઈ નાઓ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સી નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી મુળી પોલીસ સ્ટેશન મુજબના કામનો નાસતા ફરતા ફરાર આરોપી અનકભાઈ બહાદુરભાઈ તકમરીયા જાતે-કાઠી દરબાર ઉવ.46 ધંધો-મજુરી રહે-સાંગોઈ ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાને સાંગોઈ ગામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો મુળી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.પકડાયેલ આરોપી:અનકભાઈ બહાદુરભાઈ તકમરીયા જાતે-કાઠી દરબાર ઉવ.46 ધંધો-મજુરી રહે-સાંગોઈ ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગરકામગીરીમાં રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીની વિગત:1. PSI- જે.વાય.પઠાણ2. PSI- એન.એ.રાયમા3. HC- મુન્નાભાઈ નાનજીભાઈ4. PC- શક્તિસિંહ જોરુભા5. PC- કપિલભાઈ ખોડાભાઈ6. ડ્રા.HC - વિક્રમભાઈ નારાયણભાઈ

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:23 pm

'અમેરિકનોને મારનારને અમે શોધી-શોધીને ખતમ કરીશું...', ટ્રમ્પના રક્ષા સચિવનું આક્રમક નિવેદન

Iran-US War News: ઈરાન-અમેરિકા યુદ્ધના ત્રીજા દિવસે વિનાશનો ખેલ ચાલી રહ્યો છે. ઈરાનની વિધ્વંસક મિસાઈલો સતત અમેરિકાના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી રહી છે. જેના કારણે ખાડી દેશોમાં હડકંપ મચી ગયો છે. ગત શનિવારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર 907 કિલોના બોમ્બ ઝીંકી ટોચની નેતાગીરીનો સફાયો કરી દીધો. તેના જવાબમાં ઈરાને જે કહેર મચાવ્યો છે, તેની અસર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમગ્ર દુનિયા પર થઈ રહી છે. પણ જ્યારે અમેરિકી દૂતાવાસોને નિશાન બનાવવાની શરૂઆત થઈ, ત્યારે અમેરિકા ફરી એકવાર એક્શનમાં આવ્યું, અને ચેતવણી આપી કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે.

ગુજરાત સમાચાર 2 Mar 2026 9:20 pm

પાટણ હાઈવે પર અકસ્માત રોકવા હાઈમાસ લાઈટો કાર્યરત:APMC, ડીસા, સંખારી ત્રણ રસ્તા પર નગરપાલિકાએ લોકાર્પણ કર્યું

પાટણના સ્ટેટ હાઈવે પર રાત્રિના સમયે અકસ્માતોનો ભય દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા હાઈમાસ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવી છે. APMC ગેટ, ડીસા ત્રણ રસ્તા અને સંખારી ત્રણ રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ સુવિધા શરૂ થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા વધશે. પાટણ શહેરના સ્ટેટ હાઈવે પરના વિવિધ જંક્શન અને ચાર રસ્તાઓ પર અગાઉ ઇલેક્ટ્રિક લાઈટની અપૂરતી વ્યવસ્થા હતી. આ કારણે સાંજ પછી અકસ્માતનો ભય રહેતો હતો. જાહેર જનતા અને વાહનવ્યવહારની સતત અવરજવરને કારણે સ્થાનિકો અને વાહનચાલકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે પાટણ નગરપાલિકાએ આયોજન હાથ ધર્યું હતું. પ્રથમ તબક્કે, APMCના મુખ્ય ગેટ પાસે, ડીસા ત્રણ રસ્તા અને સંખારી ત્રણ રસ્તા ખાતે ઇલેક્ટ્રિક હાઈમાસ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળશે, જેનાથી વાહનચાલકોને રસ્તો ઓળખવામાં સરળતા રહેશે અને અકસ્માતની સંભાવના ઘટશે. આ ઇલેક્ટ્રિક હાઈમાસ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ સોની, સ્ટ્રીટ લાઈટ ચેરમેન રમીલાબેન ભીલ અને નગર સેવક જયેશભાઈ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાઈવે પરની આ નવી વ્યવસ્થાથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:18 pm

દમણના દેવકા બીચ પર સહેલાણીઓ વચ્ચે મારામારી:બે જૂથો વચ્ચે જાહેરમાં છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

દમણના શાંત પર્યટન સ્થળ દેવકા બીચ પર રવિવારે સાંજે સહેલાણીઓના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. લક્ઝરી બસોમાં આવેલા આ જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જાહેરમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાને કારણે રવિવારની ભીડભાડ વચ્ચે ભારે તમાશો સર્જાયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દેવકા બીચ નજીક પાર્ક કરાયેલી બે લક્ઝરી બસો પાસે આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. મામલો એટલો ગરમાયો હતો કે સહેલાણીઓ જાહેરમાં જ મારામારી પર ઉતરી આવ્યા હતા. ઝપાઝપી દરમિયાન નશામાં ધૂત પુરુષોની સાથે મહિલાઓ પણ ભાન ભૂલીને એકબીજા પર તૂટી પડતી જોવા મળી હતી. એક આધેડ વયની વ્યક્તિ જમીન પર પટકાઈ ગયેલી પણ નજરે પડે છે. નોંધનીય છે કે, વીકેન્ડમાં દમણમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓનો ધસારો રહે છે. મોટાભાગના પર્યટકો અહીં શરાબ અને કબાબની મહેફિલ માણવાના ઇરાદે આવતા હોય છે. પીને છાકટા બનેલા કેટલાક તત્વો અવારનવાર જાહેર સ્થળોએ ઉપદ્રવ મચાવતા હોય છે, જેના કારણે દમણ જેવા સુંદર પર્યટન સ્થળનું નામ પણ ખરાબ થાય છે. જોકે, આ મારામારી કરનારા સહેલાણીઓ ક્યાંથી આવ્યા હતા અને તેમની વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ નથી. દરિયા કિનારે શનિ-રવિની રજાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પરંતુ લાંબા દરિયા કિનારે લાખોની ભીડમાં કયો સહેલાણી ક્યારે છાકટો બનીને લડાઈ-ઝઘડા પર ઉતરી આવે તેની આગાહી કરવી મુશ્કેલ છે. વીકેન્ડમાં માત્ર મોજશોખ ખાતર આવતા આ લાખો સહેલાણીઓને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવી એ પોલીસ તંત્ર માટે એક મોટો અને પડકારજનક કાર્ય બની રહે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:15 pm

ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ સાથે હોળી દહન:શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પર્વની ઉજવણી

ભરૂચ જિલ્લામાં ફાગણ સુદ પૂનમના પાવન અવસરે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે શુભ મુહૂર્તમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિપૂર્વક હોળી પ્રગટાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી, તો ક્યાંક પરંપરાગત રીતે લાકડાની હોળી તૈયાર કરી હોલિકા દહન કરાયું હતું. હોળી પ્રગટ્યા બાદ મહિલાઓએ પરિવારો સાથે હોળી માતાનું પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ધાણી, ખજૂર, હારડા અને નારિયેળ અર્પણ કરી પરિવારની સુખાકારી તથા નિરોગી રહેવાની કામના વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વાળાની દિશા અને તેજ પરથી ચોમાસાની સ્થિતિ અંગે પરંપરાગત માન્યતાઓ અનુસાર વરતારો ભાખવામાં આવ્યો હતો. હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની પૌરાણિક કથા સાથે સંકળાયેલો છે. આ પર્વ દુર્જન પર સજ્જનની જીત અને સત્યના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. જિલ્લાભરમાં હોળી દહનના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. લોકોએ પરંપરા અને આસ્થા સાથે પર્વની ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:12 pm

સોખડાના સગીરને કારે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત:રૂડા ટ્રાન્સપોર્ટનગરમાંથી બનેવીને મળીને નીકળ્યો'તો, એકના એક પુત્રના મોતથી પરિવારમા શોકનો માહોલ

રાજકોટનાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતો 17 વર્ષીય મયુર પ્રવિણભાઈ સાકરિયા ગત તા.16/2ના સાંજે સાડા સાતેક વાગ્યે ટુવ્હીલર હંકારીને જતો હતો ત્યારે બેડી ચોકડી અને સોખડા વચ્ચે બ્લેકસ્ટોન હોટલ નજીક કારની ઠોકરે આવી જતાં બાઇક સહિત રોડ પર ફેંકાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક કાર લઈને ભાગી ગયો હતો. મયુરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ દિવસો સુધીની સારવારને અંતે તેનું મૃત્યુ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મયુર એક બહેનથી મોર્ટો હતો, અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તે ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત તા.16 ફેબ્રુઆરીએ તે રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા બનેવી દર્શનભાઈને મળવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતી વખતે આ બનાવ બન્યો હતો. તેના પિતા પણ ઇમિટેશનનું કામ કરે છે. એકના એક દિકરાના મૃત્યુથી સાકરીયા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બેડી ચોકડી પાસે કારખાના ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોતરાજકોટની બેડી ચોકડી પાસે આવેલા ગુરુદેવ સ્ક્રેપ નામના કારખાનામાં શનિવારે સાંજે એલ્યુમિનિયમની ભઠ્ઠીમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટની ઝપેટમાં ત્યાં કામ કરી રહેલા 45 વર્ષીય શ્રમિક ગુરુ જેદીભાઈ નિષાદને પેટના અને શરીરના અન્ય અંગો પર ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવારમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતી વખતે વીજશોક લાગતાં યુવકનું મોતરાજકોટનાં શાપર-વેરાવળમાં એન્જિનિયરિંગ પાસે આવેલા એમ.વી. મેટલ નામના કારખાનામાં મજૂરીકામ કરી રહેલા 28 વર્ષીય યુવાનનું વીજશોક લાગતાં કરુણ મોત નીપજ્યું છે. મૂળ બિહારના વતની અને હાલ શાપરમાં એમ.વી. મેટલ નામના કારખાનામાં રહેતો ઉમેશ ચંદ્રદેવ ઠાકુર નામનો યુવક રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ કારખાનામાં પોતાનું કામ કરી રહ્યો હતો દરમિયાન અચાનક તેને વીજવાયરથી જોરદાર શોક લાગ્યો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં ઉમેશને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતો. બજરંગવાડીમાં ગરમ પાણીથી દાઝતાં વૃદ્ધાનું મૃત્‍યુરાજકોટ બજરંગવાડીમાં રહેતાં 76 વર્ષીય ભાવનાબેન સુમનલાલ આહ્યા તા. 23 ફેબ્રુઆરીના રોજ દાઝી જતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જોકે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભાવનાબેનને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ તેઓ બાથરૂમમાં ન્‍હાવા ગયા ત્‍યારે પડી જતાં ગરમ પાણી તેમના પર ઢોળાતાં દાઝી ગયા હોય સારવાર હેઠળ હતાં. જ્યાં લાંબી સારવાર બાદ આજે તેમનું મૃત્‍યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:10 pm

જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાનું દહન:ભોઈ સમાજે 70 વર્ષની પરંપરા મુજબ ઉજવ્યો મહોત્સવ

જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા મહોત્સવમાં 25 ફૂટ ઊંચી હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા. ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરા જાળવી રાખે છે. દર વર્ષે જામનગરમાં સૌથી મોટા હોલિકાના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. આ મહોત્સવ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા અનુસાર ઉજવવામાં આવે છે. હોલિકાના નિર્માણ માટે ભોઈ સમાજના લોકો એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે. પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેવી કે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર અને વિવિધ પ્રકારના આભૂષણોનો ઉપયોગ કરીને વિશાળ પૂતળું બનાવવામાં આવે છે. આ પૂતળાનું વજન અંદાજે 3 થી 4 ટન અને ઊંચાઈ લગભગ 25 ફૂટ જેટલી હોય છે. ભરતભાઈ ગોંડલીયા નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવે છે. કાર્યક્રમ માટે ભોઈ વાડા અને શાક માર્કેટ વિસ્તારને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યો હતો. આ વિશાળ પૂતળાને વાજતે ગાજતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. હજારો લોકોએ હોલિકાના દર્શન કર્યા હતા. પુરાણોમાં વર્ણવેલી કથા મુજબ, હોલિકાને અગ્નિથી બચાવતી ચૂંદડી વરદાનરૂપે મળી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને અગ્નિમાં લઈને બેઠી ત્યારે પવનના કારણે ચૂંદડી ઉડીને પ્રહલાદ પર પડી અને તેનો બચાવ થયો હતો. આ પ્રસંગને અહીં આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. દહન બાદ અબીલ-ગુલાલ ઉડાડીને અધર્મ પર ધર્મની જીતને વધાવવામાં આવી હતી. હોલિકા દહન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:10 pm

સોમનાથમાં ભૈરવદાદાના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવી:પરંપરાગત રીતરિવાજો સાથે ભક્તોએ ઉજવણી કરી

સોમનાથમાં પરંપરાગત રીતરિવાજો અનુસાર ભૈરવદાદાના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવી. શહેરના રામરાખ ચોક અને પાટચકલા વિસ્તારમાં હોળી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હોળીની પૂર્વસંધ્યાએ ગામના યુવાનોએ માટીમાંથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવી હતી. આ પ્રતિમાને રંગબેરંગી અને સોનેરી કાગળોથી શણગારવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભૈરવનાથ દાદાના દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા. સાંજે ભૈરવદાદાના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવી. હોળી પ્રગટાવ્યા બાદ દાણીધારીયા હોમ કરવામાં આવ્યો હતો. ભક્તોએ કળશમાં પાણી ભરી, શ્રીફળ સાથે હોળીની જળ રેડતા પ્રદક્ષિણા કરી હતી. પરંપરા અનુસાર, હોળી પર ગોઠવાયેલી ધજા કઈ દિશામાં વળે છે તેના આધારે આવનારા વર્ષ માટે શુભ સંકેતોની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં નવા જન્મેલા બાળકો અને નવપરિણીત યુગલો ઢોલ-શરણાઈ અને લોકગીતોના સથવારે હોળી ચકલા પહોંચ્યા હતા. તેમણે ભૈરવનાથ દાદાની પૂજા કરી, ખજૂર ધરાવી અને પરિવાર સાથે હોળીની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 9:07 pm

નાગલપુરની તક્ષશીલા સોસાયટીમાં બંધ મકાનના તાળા તૂટ્યા:મકાનનું બારણું તૂટેલું ને તિજોરીના લોકરમાંથી દાગીના ગાયબ, 5.40 લાખની ચોરી

મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલી તક્ષશીલા સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. નાગલપુર કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન પ્રજાપતિના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર શખ્સો સોના-ચાંદીના દાગીના સહિત કુલ 5,40,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મકાનનું બારણું તૂટેલું ને અંદર તિજોરીના લોકરમાંથી દાગીના ગાયબમળતી વિગત અનુસાર, ચેતનાબેન ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ તેમના પિતા અને પુત્ર સાથે ડભોઈ ખાતે નોકરી કરતા તેમના ભાઈને મળવા માટે ગયા હતાં. દરમિયાન, 1લી માર્ચની વહેલી સવારે આશરે સાડા ચારેક વાગ્યે પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. આ સમાચાર મળતા જ પરિવાર તાત્કાલિક મહેસાણા પરત ફર્યો હતો. ઘરે આવીને જોતા મકાનનું બારણું તૂટેલું હતું અને અંદર તિજોરીના લોકરમાં રાખેલા દાગીના ગાયબ હતા. 5.40 લાખની કિંમતના દાગીનાની ચોરીસોનાની 4 બંગડીઓ કિંમત 1,35,000,સોનાની 2 કડલી (કિંમત 1,35,000,સોનાના 3 દોરા (કિંમત 1,35,000),સોનાની 3 બુટ્ટી (કિંમત 67,500),સોનાની 5 વીંટીઓ કિંમત 67,500) તસ્કરો તિજોરીમાંથી અંદાજે ચાર તોલા જેટલા સોનાના દાગીના ચોરી ગયા છે. આમ કુલ 5.40 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચેતનાબેને આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 8:44 pm

વિદ્યાનગર NVPAS કેમ્પસમાં ધૂળેટીની ઉજવણી:વિદ્યાર્થીઓએ ઓર્ગેનિક કલરથી પર્વ ઉજવ્યું, કેમિકલયુક્ત રંગો ટાળ્યા

વલ્લભ વિદ્યાનગરના NVPAS કેમ્પસમાં હોળી-ધૂળેટી પર્વની વહેલી ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ કેમિકલયુક્ત રંગોને બદલે માત્ર ઓર્ગેનિક અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને 'સુરક્ષિત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ધૂળેટી'નો સંદેશ આપ્યો. કોલેજના વિદ્યાર્થીઓએ મિત્રો સાથે ગુલાલ લગાવી, ગીતોના તાલે ઝૂમી અને ગ્રુપ સેલ્ફી લઈને આ પળોને યાદગાર બનાવી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોવાને કારણે તેઓ કેમિકલયુક્ત રંગો ત્વચા અને આંખોને કેટલું નુકસાન પહોંચાડે છે તે જાણે છે. આથી, તેમણે અબીલ-ગુલાલ અને કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો. NVPASની વિદ્યાર્થીની વંશિકા પંચાલ અને તેના મિત્રોએ અન્ય યુવાનોને પણ પાણીનો બગાડ ન કરવા અને અબોલ પ્રાણીઓ પર રંગ ન નાખવા અપીલ કરી. વિદ્યાનગરના રસ્તાઓ અને કોલેજ ગ્રાઉન્ડ્સ પર ગુલાલની ડમરીઓ અને યુવાનોના ઉત્સાહને કારણે સમગ્ર પંથક રંગીન બન્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 8:39 pm

કાલુપુર સ્ટેશન પર સન્ટિંગ એન્જીનની ટક્કરથી બે રેલવે કર્મચારીને ઈજા:લોકો અને રેલવે સ્ટાફે ફસાયેલા કર્મચારીને બહાર કાઢ્યો, એન્જીન ટ્રેનથી અલગ કરતા હતા ને અકસ્માત

દિવસના હજારોથી લાખો લોકો મુસાફરી કરતા અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર આજે 2 ફેબ્રુઆરીએ સવારે થયેલા અકસ્માતમાં બે રેલવે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સોમવારે સવારે લગભગ 8.50 વાગ્યે ટ્રેન નંબર 19031 સાબરમતી–ઋષિકેશ યોગા એક્સપ્રેસ કાંકરિયા યાર્ડમાં મેન્ટેનન્સ બાદ કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર આવી પહોંચી હતી. ટ્રેનને પ્લેટફોર્મ પર ઉભી રાખ્યા બાદ સન્ટિંગ એન્જીન ટ્રેનથી અલગ કરીને કાલુપુર બ્રિજ તરફ લઈ જવાતું હતું. મિકેનિક વિભાગના બે કર્મચારીઓ સાથે એન્જીન અથડાયુંઆ દરમિયાન સન્ટિંગ પ્રક્રિયા (યાર્ડમાંથી ટ્રેનને પ્લેટફોર્મ સુધી લવાતો એન્જિન) દરમિયાન ગાઈડ કરી રહેલા કર્મચારીઓનું ધ્યાન બીજે જતા ટ્રેક પાસે નિરીક્ષણ કરી રહેલા મિકેનિક વિભાગના બે કર્મચારીઓ સાથે એન્જીન અથડાયું હતું. અકસ્માતમાં એક કર્મચારી ટ્રેકની બાજુમાં ફંગોળાઈ ગયો હતો, જ્યારે બીજો કર્મચારી બે પાટા વચ્ચે એન્જીન નીચે ફસાઈ ગયો હતો. વ્યક્તિએ બુમાબુમ કરતાં ડ્રાઈવરે તાત્કાલિક એન્જીન રોકી દીધુંસ્થળ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિએ બુમાબુમ કરતાં ડ્રાઈવરે તાત્કાલિક એન્જીન રોકી દીધું હતું. ત્યારબાદ આસપાસના લોકો અને રેલવે સ્ટાફે મળીને એન્જીન નીચે ફસાયેલા કર્મચારીને બહાર કાઢ્યો હતો. બંને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયાઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં રેલવે અધિકારીઓએ બંનેને વધુ સારવાર માટે નારાયણા હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં એમઆરઆઈ સહિતની સારવાર શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોમાં 48 વર્ષીય ઈનિયાત હુસેન, જે રેલવેમાં ફિટર તરીકે કાર્યરત છે, અને 25 વર્ષીય મોહમ્મદ અલી શેખ, જે મિકેનિક વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સામેલ છે. રેલવે સન્ટિંગ સ્ટાફની બેદરકારીપ્રાથમિક માહિતી અનુસાર બંનેને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ એન્જીન નીચે ફસાયેલા કર્મચારીને થાપાના ભાગે ફ્રેક્ચર થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની વધુ તપાસ બાદ ઈજાની ચોક્કસ સ્થિતિ બહાર આવશે. રેલવે સન્ટિંગ સ્ટાફની બેદરકારીને કારણે બનેલી આ ઘટનાએ સલામતી વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 8:37 pm

આણંદમાં સતત 16મા વર્ષે 11 હજાર છાણાની ઇકો-ફ્રેન્ડલી હોળી:દેશી ગાયના છાણનો ઉપયોગ, રાખનો ઔષધિ તરીકે પણ થાય છે ઉપયોગ

આણંદમાં સ્ટ્રાઈકર પરિવાર અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા સતત 16મા વર્ષે ઇકો-ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવામાં આવશે. પર્યાવરણના જતન અને સામાજિક એકતાના સંદેશ સાથે આ પરંપરા જાળવવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લાકડાનો બચાવ કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો અને સમાજમાં એકતા તથા માનવતાનો સંદેશ ફેલાવવાનો છે. ભગતસિંહ ઓલ ઈન્ડિયા યુથ કાઉન્સિલના અધ્યક્ષ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ હોળી માટે ફક્ત દેશી ગાયના છાણમાંથી બનેલા 11,000 છાણાનો ઉપયોગ કરાશે. શહેરની રઝળતી ગાયોના છાણનો ઉપયોગ ટાળવામાં આવે છે. શુદ્ધ દેશી ગાયના છાણનો ઉપયોગ થતો હોવાથી, આ હોળીની રાખને પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. લોકો આ રાખને પોતાના ઘરે લઈ જાય છે અને ચામડી કે વાળની સમસ્યાઓ નિવારવા ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લે છે. અલ્પેશ પુરોહિતે વધુમાં ઉમેર્યું હતું કે, ધર્મ હંમેશા સકારાત્મક પરિવર્તન માટે હોય છે, વિનાશ માટે નહીં. પર્યાવરણનું રક્ષણ એ સમયની માંગ છે, અને તેમણે દેશવાસીઓને તહેવારોને યોગ્ય દિશામાં ઉજવવા અપીલ કરી હતી. 'ભારત માતા કી જય'ના નાદ સાથે આ ઇકો-ફ્રેન્ડલી હોળી દ્વારા એકતા અને સમાનતાનો સંકલ્પ લેવામાં આવશે. આ આયોજન આણંદમાં પર્યાવરણપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ આયોજનથી સ્થાનિક પશુપાલકોને પણ મોટો આર્થિક ફાયદો થયો છે. પશુપાલકો પાસેથી મોટી સંખ્યામાં છાણા વેચાતા લેવામાં આવતા હોવાથી તેમને વધારાની આવક પ્રાપ્ત થઈ છે. આમ, આ હોળી માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં, પરંતુ પશુપાલકોના સશક્તિકરણનું પણ માધ્યમ બની છે. આ આયોજન થકી આણંદ શહેરમાં અન્ય લોકોએ પણ પ્રેરણા મેળવી છે અને છાણાની હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો છે દુપ્રાંત આ વર્ષે પણ ઘણા લોકોએ છાણાની હોળી પ્રગટાવી છે. શહેરના રસ્તાઓ પર રઝળતી ગાયોના છાણને બદલે માત્ર દેશી ગાયના છાણનો જ અહીં આગ્રહ રાખવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 8:11 pm

નારીગામના મફતનગરમાંથી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા:18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર વરતેજ પોલીસે નારીગામ મફતનગર વિસ્તારમાં દરોડો પાડી ખુલ્લી જગ્યામાં, જાહેરમાં હારજીતનો જુગાર રમતા 4 શખ્સોને ગંજીપતા અને રોકડ સહીત 18,260ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મફતનગરમાંથી 4 શખ્સો જુગાર રમતા હતા ને પોલીસ ત્રાટકી આ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, વરતેજ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી કે, નારી ગામના સરકારી દવાખાના સામે મફતનગરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામા કેટલીક વ્યક્તિઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમે છે. 18 હજારથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયાજે પોલીસને મળેલી બાતમી આધારે સ્થળ પર રેઇડ કરી અને તપાસ દરમ્યાન કાનજી ભરતભાઈ મેર રહે, વરતેજ, બિપિન બુધાભાઇ રાઠોડ રહે, નારીગામ, મુકેશ ઓધાભાઈ રાઠોડ રહે, નારીગામ , કાનજી છનાભાઈ જાબુંચા રહે, નારીગામના રહેવાસીઓને ગંજીપતા અને રોકડ રૂ.18,260 સાથે ઝડપી પાડવામાં આવ્યાં હતા. કુલ 18,260 નો મુદામાલ પોલિસે કબ્જે કરી અને શખ્સો વિરુદ્ધ વરતેજ પોલિસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 8:10 pm

Editor's View: ઈરાન-અમેરિકા યુદ્ધ અને ખામૈનીનો ખાત્મો:દુનિયા ધણી વગરની, UNનો ઉલાળિયો અને ઈસ્લામિક દેશોની કિટ્ટા; ઈરાન હવે કોના હવાલે? પેટ્રોલ-ડીઝલ ભડકે બળશે?

આકાશ શાંત હતું, બજારો ધમધમતા હતા અને દરિયામાં જહાજોની અવરજવર સામાન્ય હતી. અચાનક ગર્જના થઈ! 28 ફેબ્રુઆરીની એ કાળી સવારે આકાશ ચીરતી મિસાઈલો વરસી. માત્ર 30 કલાકમાં 2000 બોમ્બ અને અમેરિકા-ઈઝરાયલનું સંયુક્ત ઓપરેશન એપિક ફ્યુરી. 47 વર્ષનું લોખંડી ઈરાની શાસન પળવારમાં ધૂળમાં મળી ગયું અને અલી ખામેનીના સામ્રાજ્યનો રક્તરંજિત અંત આવ્યો. શું આ ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક છે? કારણ કે કાચા તેલના ભાવ 72 થી ઉછળીને 82 ડોલર પાર કરી ગયા છે. આ માત્ર સૈન્ય હુમલો નથી, પણ વિશ્વના 20% એનર્જી સપ્લાય પર મંડરાતું જોખમ છે. જાણો, સત્તા અને બજારના આ ખતરનાક ખેલમાં હવે આગળ શું થશે? પણ તેના પહેલા વાત કરીએ તો થોડા દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધી શકે તેવી સંભાવનાઓ છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો અને ઈરાની ઈસ્લામિક શાસનના સર્વેસર્વા અલી ખામેની અને તેના પરિવારનો સફાયો કરી દીધો છે. શરૂઆતમાં આપણે પેટ્રોલ ડિઝલની વાત એટલા માટે કરી કારણ કે અમેરિકા ઈરાન યુદ્ધ પહેલા એક બેરલના કાચા તેલના ભાવ 72 ડોલર હતા અને હવે તે 13 ટકા વધીને 82 ડોલર પ્રતિ બેરલથી વધુ પહોંચી ગયા છે. આજે વાત કરીએ કેમ ખામેનીનો ખાત્મો બોલાવ્યો અને તેનાથી ભારતને શું લેવાદેવા તેની કરીએ… ઈરાનના ઈસ્લામિક નેતા ખામેનીનો ખાત્મો ઈરાન પર 28 ફેબ્રુઆરીની વહેલી સવારે ગોળીબાર થયો તે માત્ર અમેરિકા અને ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી નહોતી પણ 1979 બાદ શરૂ થયેલી ઈસ્લામિક ક્રાંતિનું પતન હતું. અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી ચલાવ્યું અને ઈઝરાયલે રોરિંગ લાયન ચલાવી ઈરાન પર હુમલો કર્યો છે. આનાથી ઈરાનના પરમાણુ અને લશ્કરી માળખાનો ખાત્મો બોલવાવામાં આવ્યો છે અને ઈરાનના સર્વૌચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનો અંત આણ્યો છે. આ હુમલા વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ઈરાનમાં 47 વર્ષથી ચાલી રહેલા ઈસ્લામિક સાશનના પાયાનું પતન થયું છે. ખૌમેની શાસનની શરૂઆત1979માં આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખૌમેનીએ પહલવી રાજાશાહી ઉખેડી વેલાયત એ ફકીહ એટલે કે ઈસ્લામિક ધાર્મિક શાસનનો પાયો નાખ્યો હતો. ખાડી દેશની નવી વિચારસરણી બંધાઈ કે ઈસ્લામ સર્વોપરી છે અને પશ્ચિમી સંસ્કૃતિ તેમની દુશ્મન છે. ઈરાને હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હુથીઓને સૈન્ય અને હથિયારની મદદ કરી અને મિડલ ઈસ્ટમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું. આર્થિક સંકટ અને ન્યુક્લિયર જીદપણ આજનો સમય આવતા આવતા અમેરિકાના પ્રતિબંધોના કારણે ઈરાન આર્થિક રીતે અંદરથી તૂટી ગયું. મોંઘવારી 60 ટકાથી વધુ પહોંચી, રિયાલની નનામી નિકળી અને ભ્રષ્ટાચારના યુવાનો સહિત ધર્મના નેતાઓમાં પણ ખામેની સામે રોષ ફાટી નીકળ્યો. ઈન્ટરનેશનલ અને ઈરાની કરારોની મનાહી છતાં પણ ઈરાને પોતાને ન્યુક્લિયર કન્ટ્રી બનાવવા જીદ પકડી. જેના કારણે 60 ટકા પ્યોરિટીનું 440 કિલો ગ્રામથી પણ વધુ યુરેનિયમ ઈરાન પહોંચ્યું. ઈરાનની બાજુમાં ઈઝરાયલ છે અને તે અમેરિકાનું મિત્ર છે. ઈરાને વાંધો ઉઠાવ્યો અને અમેરિકાએ સૂરમાં સૂર પૂરાવ્યો. જેના કારણે જન્મ થયો ઈરાનને પરમાણું રાષ્ટ્ર ન બનવા દેવાની જીદનો. ઈરાન 90 ટકા પ્યોરિટીના પરમાણુ હથિયારોથી થોડું જ દૂર હતું અને ઈન્ટરનેશનલ ન્યૂક્લિયર એનર્જી એજન્સીએ ચેતવણી આપી કે ઈરાન ઈઝરાયલના અસ્તિત્વ માટે ખતરો છે. 28 ફેબ્રુઆરીનો વિનાશક હુમલોઆમ તો ઘણા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી હતી અને આપણે બે વાર આ વિષય પર એડિટર્સ વ્યૂમાં વિસ્તારથી વાત પણ કરી. ત્યાર બાદ સમય આવ્યો 28 ફેબ્રુઆરીનો. અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને ઈરાનના પરમાણુ કેન્દ્રો પર બોમ્બ વરસાવ્યા. ઈઝરાયલના 200 જેટલા ફાયર ફાઈટર્સે ઈરાન પર 500થી વધુ જગ્યા પર હુમલો કર્યો. ખાલી 30 કલાકમાં જ 2 હજારથી વધુ બોંબ ફેંકાયા અને ઈરાનને તહેસ નહેસ કરી નાખવામાં આવ્યું. સમાચારો મુજબ આ બોમ્બમારામાં ઈરાનના સર્વૌચ્ચ નેતા ખોમેની અને તેના પરિવારની હત્યા કરી દેવામાં આવી છે. જેના માટે ઈઝરાયલના જાસૂસી સંગઠન મોસાદ અને અમેરિકાની CIAએ મહિનાઓથી મથામણ કરી હતી. ઈરાનમાં ભયાનક જાનહાનિનું દ્રશ્યભયાનક જાનહાની થઈ. બે જ દિવસમાં ઈરાનમાં 200થી વધુ લોકોના મોત થયા અને હજારો લોકો ઘાયલ થયાના સમાચારો આવ્યા. ઈરાનની મિનબની ગર્લ્સ સ્કૂલ પર મિસાઈલ પડી તેમાં 100થી વધુ બાળાઓના મોત થયા. આ સમાચારે વિશ્વને હચમચાવી દીધું. આ બધુ જોઈને ઈરાન પણ ચૂપ બેઠું નહીં. તેણે ઈઝરાયલ પર મિસાઈલ્સ છોડી જેમાં 9થી વધુ લોકોના અને 3 અમેરિકન સૈનિકોના મોત થયા. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 48 ટોચ નેતાઓને પતાવી દેવાનો દાવો કર્યો. હોર્મુઝ અને વૈશ્વિક સપ્લાય ખતરોખાડી દેશોમાંથી દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલ માટેના ક્રુડ ઓઈલની સપ્લાય થાય છે તે હોમુર્ઝમાં ઈરાને અવર જવર ન કરવાનો ફતવો બહાર પાડ્યો. યમનના હુથીઓએ લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા ફરી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ હુમલાઓ વર્લ્ડ સપ્લાય ચેઈન પર મોટો ક્વેશ્ચન માર્ક અને ખતરો છે. હમણા બે જ વર્ષ પહેલા રેડ સીના હુમલાઓના કારણે શિપિંગના ચાર્જ વધી ગયા હતા. હવે હોમુર્ઝ અને બેબ અલ મંદેબ બંને જોખમમાં છે. હોર્મુઝમાં અવરજવર ખોરવાઈ તો શિપિંગ પ્રીમિયમ અને વીમા ખર્ચ વધશે. જેના કારણે વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસના સપ્લાય પર સંકટ ઉભું થયું. માત્ર આટલું જ નહીં બદલો લેવા ઈરાને તેની આસપાસના બહેરીન, કુવૈત, કતાર, UAE અને જોર્ડનમાં આવેલા અમેરિકન બેઝ પર હુમલાઓ કર્યા. જેમાં મોટી જાનહાની થઈ. લેબનોન સૂડી વચ્ચે સોપારીઈરાન-ઈઝરાયલ અને અમેરિકાની બઘડાટીમાં લેબનોન નામનો દેશ સૂડી વચ્ચે સોપારી બન્યો. લેબનોનનું હિઝબુલ્લા જંગમાં જોડાયું. તેણે ઈઝરાયલના હાઈફા અને તેની આસપાસ રોકેટથી હુમલા કર્યા. જેના જવાબમાં ઈઝરાયલે લેબનોનના 50થી વધુ ગામો ખાલી કરાવી હુમલાઓ કર્યા. લેબનોનના રાષ્ટ્રપતિએ હિઝબુલ્લાહ અને ઈઝરાયલ બંનેની લડાઈનો વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ઈઝરાયલ અને ઈરાનના કારણે લેબનોન વાંક વગરનું માર ખાઈ રહ્યું છે. દક્ષિણ લેબનાનમાંથી બેરૂત અને ઉત્તર તરફ થયેલું સ્થળાંતર દેશની નાજુક આર્થિક પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. તેલ બજારમાં ઉથલપાથલખાડી દેશોમાં થયેલી ઉથલપાથલની અસર શેરમાર્કેટ અને પેટ્રોલ ડીઝલ પર પણ દેખાઈ. બ્રેન્ટ ક્રૂડ 72 ડોલર પ્રતિ બેરલથી ઉછળી 82 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો. WTI 67 ડોલરથી 75 ડોલર વટાવી ગયું. એશિયન બજારોમાં પણ પડતી દેખાઈ. જો કે ખાડી દેશોના OPEC સંગઠને યુદ્ધના ધોરણે તેલ એક્સપોર્ટ વધારતા વિશ્વને થોડી શાંતિ મળી અને પેટ્રોલ ડિઝલના ભાવ કંટ્રોલમાં આવ્યા. પણ ક્યાં સુધી કન્ટ્રોલમાં રહેશે તે કહેવું હજુ થોડું મુશ્કેલ છે. કાર કે જો બ્રેન્ટ 80-90 ડોલર વચ્ચે રહેશે તો વૈશ્વિક મોંઘવારી ફરી માથું ઉંચકી શકે છે. ભારત સહિત જે દેશો એનર્જી ઈમ્પોર્ટ કરે છે તેના માટે આ ખતરાની ઘંટડી છે. કારણ કે ભારત 85 ટકા જેટલું ક્રુડ ઓઈલ બહારથી લાવે છે. ટ્રમ્પનો રાજકીય જુગારપણ અમેરિકાએ આવું કેમ કર્યું? શું તેમની ઈઝરાયલ સાથે એવી બધી દોસ્તી છે કે ઈઝરાયલના કારણે પોતાના સૈનિકોને પણ મોતને ઘાટ ઉતારે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવું બધું કરીને અમેરિકામાં આ વર્ષે થનાર મીડ ટર્મ ચૂંટણીમાં ફાયદો મેળવવો છે. Ipsos/Reutersના સર્વે મુજબ 27 ટકા અમેરિકન્સ હુમલાને સપોર્ટ કરે છે જ્યારે 43 ટકા વિરોધમાં છે. 42 ટકા રિપબ્લિકન્સ મતદારોનું માનવું છે કે જો જાનહાની વધશે તો તેઓ સમર્થન પાછું ખેંચી લેશે. અમેરિકન કોંગ્રેસમાં યુદ્ધ મામલે પ્રસ્તાવ લાવવાની પણ માંગ ઉઠી છે. સર્વોચ્ચ નેતાઓના કારણે થઈ રહેલી સામાન્ય લોકો હત્યાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં કેટલો ફાયદો ઉઠાવશે તે હવે જોવાનું રહેશે. વૈશ્વિક શક્તિઓનું ધ્રુવીકરણહવે વાત કરીએ કે ઈરાનના દોસ્ત દેશોએ અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાઓ વિશે શું કહ્યું. રશિયા અને ચીને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યું છે. યુરોપિયન્સ દેશોની વાત કરીએ તો બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે અને ઈરાનના વળતા હુમલાઓ રોકવામાં મદદ કરવાની વાત કહી છે. આનાથી એક વાત નક્કી થાય છે કે ગમે એટલો વિરોધ હોય પણ નાટો દેસો ખુલ્લેઆમ અમેરિકાની પાછળ ઉભા દેખાય છે. આ યુદ્ધમાં એક બાજુ અમેરિકા-ઈઝરાયલ અને યુરોપ છે અને સામેની બાજુ ઈરાન-ચીન અને રશિયા. જો કે રશિયા અને ચીને યુરોપિયન યુનિયન્સ દેશોની જેમ સાથ આપવાની હજુ સુધી કોઈ વાત નથી કરી. ત્યારે એક સવાલ થાય કે અમેરિકા યુએન કાયદા મુજબ ગમે તે દેશ પર હુમલો કરી શકે? તો તેનો જવાબ છે કે યુએન ચાર્ટરની કલમ 2 ક્લોઝ 4 કહે છે કે બળ પ્રયોગ ન કરી શકાય. સામેની બાજુ અમેરિકા યુએન ચાર્ટરની 51મી કલમનો ફાયદો લઈને કહે છે કે તેણે ઈરાન પર હુમલો સ્વબચાવ માટે કર્યો છે. યુએન કાયદા પર સવાલઈન્ટરનેશલ લોની દ્રષ્ટિએ સિચ્યુએશન ક્રિટિકલ છે. એક બાજુ અમેરિકા દાવો કરે છે કે ઈરાનની ન્યુક્લિયર કેપિસિટી અને પ્રોક્સી હુમલાઓ રોકવા માટે તેમણે યુદ્ધ છેડ્યું જ્યારે બીજી બાજુ અમેરિકાની સંસદમાં જ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ઈરાન હુમલો કરશે એવી માહિતી હતી? જો ન હતી તો પ્રિવેન્ટીવ વોરના નિયમથી અમેરિકાએ યુદ્ધ છેડવું કેટલું યોગ્ય કહેવાય? જો આ મામલે ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસ્ટ સુધી પહોંચશે તો વર્લ્ડ ઓર્ડરમાં નવા માપદંડો પણ ઉભા થઈ શકે છે. કારણ કે સવાલ ઉભો થાય છે કે એક દેશને પરમાણું કાર્યક્રમની આશંકાના આધારે સ્ટ્રાઈક કરવાની છૂટ મળી જાય? આ બહુ ગંભીર સ્થિતિ છે. ભારતના હિતો કઈ બાજું?ભારતની વાત કરીએ તો આપણે સીધી રીતે કોઈ દેશોના ડખામાં શામેલ નથી થતા. ઉપરથી આજની તારીખે 90 લાખથી વધુ ભારતીયો ખાડી દેશોમાં મજૂરી ધંધો કે રહેવાસ કરે છે. 10 હજાર જેટલા ભારતીયો ઈરાનમાં રહે છે અને 40 હજાર જેટલા ઈઝરાયલમાં. ભારતના કરોડો રૂપિયાના ખર્ચા બાદ ચાબહાર અને IMEEC પ્રોજેક્ટ હાલ યુદ્ધના કારણે જોખમમાં છે. હવે ઈરાનનો સર્વેસર્વા કોણ?આ બધી ઘટનાઓ વચ્ચે એક સવાલ થાય કે ખામેનીના ખાત્મા બાદ હવે ઈરાનને કોણ લીડ કરશે? એસેમ્બ્લી ઓફ એક્સપર્ટ્સ નવા નેતાની પસંદગી માટે બેઠકો કરી રહ્યા છે. મોજતબા ખામેની, અલીરેઝા અરાફી અને અલી લારીજાની જેવા નામ ઈરાનની નવી ધુરા સંભાળી શકે છે. યુવાનોને ઈસ્લામિક કાયદો નથી જોઈતો અને બીજી બાજુ લશ્કરી શાસનની પણ માગ કરવામાં આવી રહી છે. કારણ કે ખામેનીના ખાત્મા પછી એક વ્યક્તિનો જ અંત નથી આવ્યો, એક વિચારધારાનો પણ અંત આવ્યો છે. આ યુદ્ધ બાદ હવે ઈરાન ફરી ઈસ્લામિક શાસન બાજુ વળશે કે બંધારણ બાજુ તે મોટો સવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ એસેમ્બ્લી ઓફ એક્સપર્ટ્સ ટૂંકા ગાળા માટે ઈરાનની સત્તા સંભાળશે. ખામેનીના વંશજ મોજતબાનું નામ અત્યારે લીડર બનાવવા માટે ચર્ચામાં છે પણ બીજી બાજુ જેનઝી તેનો વિરોધ કરી રહ્યા છે. અલી રેઝા અરાફી કડક વિચારધારાના ધાર્મિક નેતા છે. સામેની બાજુ અલી લારીજાની સુધારાવાદી નેતા છે. આ બધા વચ્ચે સૈન્ય સાશન આવશે તેની પણ ચર્ચાઓ શરૂ છે. કારણ કે ઈરાની લશ્કરે છેલ્લા બે દાયકામાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે. જો ઈરાનમાં લશ્કરી શાસન આવશે તો ફરી પશ્ચિમ સાથે વૈચારિક યુદ્ધ શરૂ થશે જેના દુનિયા પર ઘેરા ભણકારા વાગી શકે એમ છે. વિચારધારાનું યુદ્ધઆપણે એ પણ સમજવું પડશે કે આ યુદ્ધ ખાલી મિસાઈલ્સ અને ડ્રોન્સનું જ નથી પણ વિચારધારાનું પણ છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાનમાં મહિલાઓ આઝાદીથી હરીફરી શક્તિ હતી. આ બધાની વચ્ચે ઈરાનમાં બે વિરાધાભાસ છે. એક બાજુ અમેરિકાથી બદલો અને બીજી બાજુ યુવાનોનો લિબરલ વિચાર. જો યુદ્ધ વધુ જામશે તો ઈરાનમાં ફરી 2009ના ગ્રીન મુવમેન્ટ અથવા 2022ના મહિલા આંદોલન જેવી લહેર ફરી ઉભી થશે. એકલા ઈરાનની પડખે કંગાળ પાકિસ્તાનજ્યારે વાત ઈસ્લામની થઈ જ રહી છે તો પાકિસ્તાનને યાદ કરવું જ પડે. પાકિસ્તાનમાં ખામેનીના ખાત્મા બાદ શિયા સમુદાયોએ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. બળવા રોકવા માટે ગોળીબાર પણ કરાયાના સમાચાર છે. પાકિસ્તાનના વિરોધ પ્રદર્શનોમાં 20થી વધુ લોકોના મોત થયા છે. કરાચી, સ્કર્દુ અને ઈસ્લામાબાદમાં થયેલી હિંસા કહી જાય છે કે ઈરાનની આગ સીમાડા પાર કરી ગઈ છે. ઈસ્લામિક એંગલ વધુ આગ લગાવી શકે તેવી પણ સંભાવના છે. પહેલેથી આર્થિક અને રાજકીય રીતે પાકિસ્તાનમાં આ મામલે હવે શું થશે તે જોવાનું રહેશે કારણ કે થોડા દિવસ પહેલા તેનો પણ અફઘાનિસ્તાન સામે આવો જ હાલ થયો હતો. અમેરિકાની અંદરની રાજકીય અસરઅમેરિકાની અંદર આ યુદ્ધ રાજકીય રીતે બે ધારવાળી તલવાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે 6 મિનિટના વિડિયો સંદેશમાં કહ્યું કે ઓપરેશન 4–5 અઠવાડિયા ચાલશે. તેમણે ઈરાની સેના રિવોલ્યુશનરી ગાર્ડ્સને હથિયાર નાખવાની ચેતવણી આપી. પરંતુ Ipsos અને Reuters સર્વે કહે છે કે માત્ર ચોથો ભાગ અમેરિકનો આ હુમલાને સમર્થન આપે છે. જો જાનહાનિ વધશે અથવા તેલના ભાવો વધી મોંઘવારી ચડશે, તો મિડ-ટર્મ ચૂંટણીમાં તેનો સીધો પ્રભાવ પડશે. કોંગ્રેસમાં યુદ્ધ સત્તા મર્યાદિત કરવાની માંગ ઉઠી છે; જો પ્રસ્તાવ પસાર થશે, તો ટ્રમ્પને ભવિષ્યના હુમલાઓ માટે સંસદીય મંજૂરી લેવી પડશે. જીતની કિંમત કોણ ચૂકવે?ઈરાનમાં ખામેની યુગનો અંત મધ્ય પૂર્વ માટે એક નવો અધ્યાય છે. પણ ઈતિહાસ એવું પણ કહે છે કે માત્ર એક નેતાનો અંત શાંતિની પૂરી ખાતરી ન કહી શકાય. આ યુદ્ધથી ટ્રમ્પે સાબિત કર્યું છે કે 21મી સદીમાં યુદ્ધ બજાર, સંસદ, આંતરરાષ્ટ્રીય કાયદા સિવાય પણ લડી શકાય છે. સવાલ એ નથી કે કોણ જીત્યું? સવાલ એ છે કે જીતની કિંમત કઈ કિંમત પર આવી. ઈરાન અને ઈઝરાયલના સામાન્ય નાગરિકો ભોગ બન્યા છે. અને છેલ્લે… અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીની તારીખે ઈરાન પર હુમલો કર્યો હતો અને સુપ્રીમ લીડર ખામેનીનો ખાત્મો બોલાવ્યો હતો. તેના ઠીક 48 કલાક પહેલા આપણા પ્રધાનમંત્રી બે દિવસ માટે ઈઝરાયલ ગયા હતા. શું ભારતને ખબર હતી કે હુમલો થવાનો હતો? શું ભારતે હુમલા પહેલા જ બેમાંથી કોઈ એક દેશને સિલેક્ટ કરી લીધો હતો કે ભારત કઈ બાજુ છે? સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ…સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:55 pm

સિવિલમાં ડોક્ટરો માટે અત્યાધુનિક સર્જિકલ વર્કશોપ:લેપ્રોસ્કોપી સર્જરી માટે એડવાન્સ સર્જીકલ સ્કીલ અંગે પાંચ દિવસીય વર્કશોપનું આયોજન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગ દ્વારા આધુનિક સર્જિકલ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી 5 દિવસીય 'બેઝિક અને એડવાન્સ્ડ હેન્ડ્સ-ઓન સર્જિકલ સ્કિલ લેબ' વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જોનસન એન્ડ જોન્સન (JJ) કંપનીના 'ઓન વ્હીલ્સ' કાર્યક્રમના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં તબીબોને લેપ્રોસ્કોપીના આધુનિક પાસાઓથી અવગત કરવામાં આવશે. વાસ્તવિક ઓપરેશન જેવો અનુભવ: વેટ અને ડ્રાય લેબની સુવિધા આ વર્કશોપમાં રેસીડન્ટ ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોને લેપ્રોસ્કોપિક સર્જરીમાં પ્રાયોગિક નિપુણતા અપાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને લેપ્રોસ્કોપિક સ્યુચરિંગ (ટાંકા લેવા), ગાંઠ બાંધવાની જટિલ ટેકનિક અને એડવાન્સ્ડ સર્જરી માટે જરૂરી હેન્ડ-સ્કિલ ડેવલપ કરવામાં આવશે. તાલીમ દરમિયાન 'Wet Lab' (ભીના) અને 'Dry Lab' (સૂકા) સર્જિકલ મોડેલ્સનો ઉપયોગ કરાશે, જેથી ડોક્ટરોને ઓપરેશન ટેબલ પર વાસ્તવિક સર્જરી કરતા હોય તેવો જ અનુભવ પ્રાપ્ત થશે. 175 જેટલા તબીબોની સહભાગિતા સર્જરી વિભાગના વડા ડોક્ટર હિમેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજિત 25 ફેકલ્ટી સભ્યો અને 150 રેસીડન્ટ ડોક્ટરો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ પ્રકારની તાલીમથી ડોક્ટરોની ટેકનિકલ ક્ષમતામાં વધારો થશે, જેનો સીધો ફાયદો સિવિલમાં આવતા સામાન્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં જોવા મળશે. તબીબી શિક્ષણમાં નવી ક્ષિતિજો મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સરકારી તબીબી સંસ્થાઓમાં આ પ્રકારની પ્રાયોગિક તાલીમથી શિક્ષણ અને સારવાર બંનેમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. ડોક્ટર હિમેશ ચૌહાણે આધુનિક સાધનો અને 'સેટઅપ ઓન વ્હીલ્સ' ઉપલબ્ધ કરાવવા બદલ JJ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવામાં ડોક્ટર રાકેશ જોશીનો અમૂલ્ય સહયોગ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:45 pm

વડોદરા-ડાકોર વચ્ચે દોડશે પૂનમ સ્પેશિયલ ટ્રેન:વડોદરા રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, 3 અને 4 માર્ચે મુસાફરોને મળશે મોટી રાહત

હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારો દરમિયાન ડાકોરના રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. યાત્રીઓની આ ભીડને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 03 માર્ચ અને 04 માર્ચ 2026 ના રોજ વડોદરા અને ડાકોર વચ્ચે 'પૂનમ સ્પેશિયલ ટ્રેન' દોડાવવામાં આવશે. ટ્રેનનો સમય અને રૂટની વિગતઆ વિશેષ ટ્રેન સેવાનો લાભ લેવા ઈચ્છતા મુસાફરો માટે રેલવે દ્વારા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે: વડોદરા-ડાકોર (ટ્રેન નં. 09149): આ ટ્રેન વડોદરા સ્ટેશનથી સવારે 10:40 કલાકે ઉપડશે અને બપોરે 12:05 કલાકે ડાકોર પહોંચશે. ડાકોર-વડોદરા (ટ્રેન નં. 09150): પરત ફરતી વખતે આ ટ્રેન ડાકોરથી બપોરે 15:50 કલાકે રવાના થશે અને સાંજે 17:10 કલાકે વડોદરા પરત ફરશે. આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજયાત્રીઓની સુવિધા માટે આ ટ્રેન બંને દિશાઓમાં મુસાફરી દરમિયાન આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાણ કરશે. આ સ્ટોપેજને કારણે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ પણ સરળતાથી ડાકોર દર્શન કરવા જઈ શકશે. રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રેનના સંચાલન સમય, કોચની સંરચના અને અન્ય ટેકનિકલ માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તહેવારોના સમયે ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી લેવું હિતાવહ છે જેથી છેલ્લી ઘડીની અસુવિધાથી બચી શકાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:42 pm

39.41 કરોડના સાયબર ફ્રોડમાં અમદાવાદથી બે સૂત્રધાર ઝડપાયા:15થી વધુ રાજ્યોમાં 59થી વધુ સાયબર ફ્રોડ કર્યા, સો.મીડિયા અને મેસેજિંગ એપથી લોકોને લાલચ આપતા

રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં CID ક્રાઈમના સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સે 39.41 કરોડ રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અમદાવાદથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ દેશના 15 થી વધુ રાજ્યોમાં 59થી વધુ સાયબર ફ્રોડ આચર્યા હતા. CID ક્રાઈમના અધિકારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના આધારે આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીઓના મોબાઇલ અને બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 11થી વધુ બેંક ખાતાં તથા અનેક સિમ કાર્ડનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ગેંગ દ્વારા કુલ 39,41,26,382 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ: કઈ રીતે કરતા હતા ઠગાઈ?આરોપીઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ દ્વારા લોકોનો સંપર્ક કરી તેમને વિવિધ લાલચ આપી છેતરતા હતા. “ડિજિટલ અરેસ્ટ”, “ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ”, “UPI ફ્રોડ”, “ટ્રેડિંગ ફ્રોડ” અને “પાર્ટ ટાઇમ જોબ”ના નામે નાગરિકોને વિશ્વાસમાં લઇ રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. ત્યારબાદ રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ફેરવી દેતા અને ટ્રેસ ટાળવા માટે નવા મોબાઇલ નંબર અને એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ: તપાસમાં બહાર આવ્યું છે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત સહિત કુલ 15 થી વધુ રાજ્યોમાં આ ગેંગ સક્રિય હતી. અનેક પીડિતોએ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓને ઝડપવામાં આવ્યા. CID ક્રાઈમે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી વ્યક્તિ દ્વારા મળતી લાલચભરી ઓફરો, અજાણ્યા લિંક અથવા કોલ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ સાયબર ફ્રોડની ઘટનામાં તરત જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. આંતરરાજ્ય સ્તરે કાર્યરત આ ગેંગના પર્દાફાશ બાદ CID ક્રાઈમ હવે અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:40 pm

CA ફાઈનલ રિઝલ્ટમાં સુરતના બે વિદ્યાર્થીએ ટોપ 50માં:દેશમાં પરિણામનું પ્રમાણ નીચું અને પેપર્સ કઠિન, એક વિદ્યાર્થીએ કહ્યું કે, AIની મદદ લીધી હતી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CA ફાઈનલ જાન્યુઆરી-2026ની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સમગ્ર દેશમાં પરિણામનું પ્રમાણ નીચું અને પેપર્સ કઠિન હોવા છતાં સુરતની રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ક્રિષ્ના કેરિયાએ આખા દેશમાં 25મા ક્રમે અને સુરતમાં પ્રથમ ક્રમે સ્થાન હાસિલ કર્યું છે. વંદન વોરા આખા દેશમાં 30મા ક્રમે અને શહેરમાં બીજા ક્રમે આવ્યા છે. સુરતના બંને ટોપર્સે 400થી વધુ માર્ક મેળવ્યાસુરત શહેરના ટોપર્સની વાત કરીએ તો, ક્રિષ્ના કેરિયાએ સમગ્ર દેશમાં 25મો ક્રમ પ્રાપ્ત કરીને સુરતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં તેમણે 600માંથી 415 માર્ક મેળવ્યા હતા. ક્રિષ્નાએ અગાઉ સીએ ઇન્ટરમીડિયેટમાં પણ રેન્ક મેળવ્યો હતો, જે તેની મહેનત દર્શાવે છે. તેમની પાછળ વંદન વોરાએ ઓલ ઇન્ડિયા લેવલે 30મો રેન્ક મેળવી સુરત શહેરમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં તેમણે 600માંથી 407 માર્કસ મેળવ્યા હતા. બુકે આપી અને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યારવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને બુકે આપી અને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓએ આ જે ઝળહળ હતું પરિણામ લાવ્યા તેના માટે ખુશી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી આશા પણ પ્રગટ કરી હતી. '5 વર્ષની સખત મહેનત ને આખરે CA પૂર્ણ થઈ ગયું છે'સુરતમાં સીએની પરીક્ષામાં પ્રથમ આવનાર ક્રિષ્ના કેડિયાએ જણાવ્યું હતું કે, 5 વર્ષમાં સરના માર્ગદર્શન અને સખત મહેનત તથા લગનથી આખરે આજે એ મુકામ પર પહોંચ્યા છીએ જ્યાં આખરે CA પૂર્ણ થઈ ગયું છે. CAની સ્ટ્રેટેજી એ છે કે તમારે દિવસમાં સતત વાંચવું પડે. તમે ભલે દિવસમાં 1 કલાક વાંચો કે 10 કલાક, પણ વાંચવું તો પડે જ. એક પણ દિવસ સ્કીપ ન થવો જોઈએ. 'મને એવું લાગતું કે હવે ભણવાનું મન નથી થતું, ત્યારે મને ઘણો પ્રોત્સાહિત કર્યો'તેઓએ ફેમિલીની વાત કરતા જણાવ્યું હતું કે, મારા પપ્પા ટેક્સટાઈલમાં જોબ કરે છે. મમ્મી હાઉસવાઈફ છે. મારા ભાઈ IT ક્ષેત્રમાં છે અને ભાભી HR છે.પરિવારનો સહયોગ ઘણો રહ્યો છે. પપ્પા, મમ્મી, ભાઈ અને ભાભી બધાનો જ સપોર્ટ રહ્યો છે. ભાઈનો મુખ્ય સહયોગ રહ્યો છે. શરૂઆતથી અંત સુધી ક્યારેય પણ કઈ જોઈતું હોય, જેમ કે બુક્સ લાવવી હોય તો ભાઈ તરત જ તૈયાર રહેતા. જ્યારે પણ મને એવું લાગતું કે હવે ભણવાનું મન નથી થતું ત્યારે તેમણે મને ઘણો પ્રોત્સાહિત કર્યો છે કે ભલે તું એક કલાક જ ભણ પણ ભણ. ક્યારેક ભણવાનું મન ન હોય તો બહાર ફરવા પણ લઈ જતા હતા. 'AI નો આ એક ફાયદો છે અને અમે તેની મદદ લીધી હતી'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસમાં કેવી રીતે ઉપયોગ કરતા તેને લઈને તેઓએ જણાવ્યું હતું કે, AI નો સપોર્ટ અમે એવી રીતે લેતા કે જો મેં કોઈ સેક્શન વાંચ્યો હોય અને તેનો પ્રશ્ન પહેલેથી હોય, પણ મારે એ પ્રશ્નના અલગ અલગ પ્રકારો જાણવા હોય તો તેના માટે અમે AI નો ઉપયોગ કરતા. જો મને અલગ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે તો AI મને પહેલેથી જ જણાવી દેતું કે આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે છે. તેના કારણે મટીરિયલનો વ્યાપ વધી જતો હતો. તો AI નો આ એક ફાયદો છે અને અમે તેની મદદ લીધી હતી. 'CA અઘરું નથી, સરળ છે. ખાલી એક જ વસ્તુ છે કે સતત ભણતા રહેવું'જેસીએનો અભ્યાસ કરે છે તેમને સંદેશ આપતા તેમને જણાવ્યું હતું કે સાતત્ય હોવી જોઈએ. સતત મહેનત, લગન અને ડરવું નથી. જો તમારે કોઈ પણ વાત કરવી હોય તો તમારા સર સાથે વાત કરો, તમારા મોટા ભાઈ કે બહેન હોય અથવા તમારા મિત્રો હોય તેમની સાથે વાત કરો. CA અઘરું નથી, સરળ છે. ખાલી એક જ વસ્તુ છે કે સતત ભણતા રહેવું. જો ક્યાંક એવું લાગે કે કંઈક છૂટી રહ્યું છે તો ટેન્શન ન લો, તમારા મેન્ટર સાથે વાત કરો, તેઓ તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. 'મેં સાડા ચાર વર્ષથી એકદમ નિયમિત રીતે ભણ્યો છું'વંદન વોરાએ જણાવ્યું હતું કે મારો આ જાન્યુઆરી-2026 CA ફાઈનલની એક્ઝામિનેશનમાં 30મો રેન્ક આવ્યો છે ઇન્ડિયા લેવલ પર અને સુરત લેવલ પર બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. મારા તૈયારીના વિષયમાં વાત કરવાની વાત આવે, તો મેં સાડા ચાર વર્ષથી એકદમ નિયમિત રીતે ભણ્યો છું. જે સમયે જે વસ્તુને ભણવા જેવી છે, એ પ્રમાણે. એક વસ્તુને એમ નહીં કે બસ ગોખણપટ્ટી કરીને કે આપણે બસ રટ્ટા મારી મારીને આગળ વધી ગયા છીએ. આપણે જે પણ વસ્તુને ડીપમાં ભણવાની વાત આવતી હોય, તો એમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. હું કોઈપણ વસ્તુનો 'કેમ' છે, કોઈપણ સવાલ કે એનો 'કેમ' કઈ વસ્તુ છે કે આને રિલેટ થઈ શકતી હોય, એ બધી વસ્તુ પર મેં મારું ધ્યાન રાખ્યું છે કે મને એવું નથી કે બસ જેટલું પુસ્તકમાં આપ્યું છે એટલું જ જ્ઞાન હોવું જોઈએ. એ વસ્તુની આગળ-પાછળ બધું જ જ્ઞાન હોવું જોઈએ. 'હું Google Gemini નો યુઝ કરતો હતો'તેને વધુમાં કહ્યું કે, બુક્સની અંદર, કે જેની અંદર મને બ્રીફમાં લાગતું હોય કે આવી શકે છે. એક્ઝામમાં કે ઈમ્પોર્ટન્ટ છે મારા લાઈફ માટે શીખવા માટે, તો મેં એની અંદર નાખ્યું હશે, એને પ્રોમ્પ્ટ આપ્યા હશે બરાબર અને એની પાસેથી કેટલું હું એક્સટ્રેક્ટ કરી શકું છું સારી રીતે જાણવા માટે એનો ટોપિક, એની મેં કેળવણી લેવાની પૂરેપૂરી મહેનત કરી છે. 'માં ના સ્વપ્નન પર આપણે આગળ વધ્યા છીએ'પરિવાર વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, એક ગુજરાતી જૈન ફેમિલીમાં મારો જન્મ થયો છે. મારા પપ્પા હીરાનો વ્યવસાય કરે છે. મારી મમ્મી ગૃહિણી છે. અને મારી મમ્મીની વાત કરીએ, જે કહેવાય ને કે જેનો મારા પર ઘણો બધો ઉપકાર કહી શકાય કે હું આજે અહીંયા જે સ્તર પર છું એ મારી માના કારણે છું. મારી મા ભણવામાં બહુ જ સારી હતી પણ એક કારણસર, ઘરેલુ કારણસર ભણી નથી શકી, તો એની ઈચ્છા હતી કે તું આગળ જઈને કંઈક સારી ડિગ્રી પ્રાપ્ત કરે. એટલે બસ એની જ સ્વપ્ન પર આપણે આગળ વધ્યા છીએ અને CAના આજે ફાઈનલમાં 30મો ક્રમાંક હાસિલ કર્યો છે. 'તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ'તેમણે આગળ જણાવ્યું હતું કે, મારા જે સર છે, જેમને મને છેલ્લી મિનિટ સુધી મદદ કરવાનો એ કહેવાય ને કે મોકો નથી છોડ્યો. મેં ક્યારેય પણ કોઈપણ હશે. હવે એક્ઝામના ચાર દિવસ પહેલાની જ વાત છે કે મને કોઈ વસ્તુમાં ડાઉટ હતો કે હું કેવી રીતે આને બરાબર કરી શકું છું, તો મેં ત્યારે પણ સરને ફોન કરેલો. સરે મને બરાબર એ કહેવાય ને સારો ટાઈમ નિકાળીને સમજાવેલું કે તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તું ટેન્શન ના લેતો, તારું બધું બરાબર થશે, તું બસ શાંતિથી એક્ઝામ આપતો રહે. 'એ થીયરીના વિષયમાં મારા થોડા નબળા માર્ક હતા'તેને વધુમાં કહ્યું હતું કે, હું ઇન્ટરમાં ચાર માર્કથી રહી ચૂક્યો હતો, રહી ગયેલો રેન્કથી. મારા આમ બહુ સારા માર્કસ હતા બધા જ વિષયમાં, પણ એક-બે વિષય જે ગોખણપટ્ટીના જે થીયરીના વિષય હોય, એ થીયરીના વિષયમાં મારા થોડા નબળા માર્ક હતા. તો એના માટે સરે મને કીધેલું કે તું છે ને થીયરીને પણ મહત્વતા આપ. કારણ કે CA માં તમે કન્સિસ્ટન્સી સાથે સાથે ઇક્વલ ઇમ્પોર્ટન્સ એટલે કે તમે બધા જ વિષયને સારી રીતે મહત્વ આપી શકો. અને મેઈન બધા કરતા એમ કે તમે એબીસી એનાલિસિસ એટલે કે સિલેક્ટિવ સ્ટડી ના કરી શકો. તમે નક્કી ના કરી શકો કે દર વર્ષે આ પુછાય છે તો આ જ કરીને જવાનું, થોડું નથી પૂછાતું તો આપણે છોડી દેવાનું. એ છોડવાની વાત જ ના આવે કારણ કે જાન્યુઆરી-26 જેવો અટેમ્પ્ટ પણ આવી શકે છે લાઈફમાં. આપણું ICAI છે. 'CA બનવા માટે પૂરેપૂરું છએ છ વિષય મહત્વના'તેમણે અત્યારે જે છોકરાઓ તૈયારી કરે છે તેમને સંદેશ આપતા જણાવ્યું હતું કે, જે પણ છોકરો CA બને છે તો એક એવી લાયકાત હોવી જોઈએ છોકરામાં કે CA બનવા લાયક હોવો જોઈએ. એવું ના હોય કે બસ થોડું થોડું ભણી ભણીને CA બની જાય. CA બનવા માટે પૂરેપૂરું છએ છ વિષય અને છઠ્ઠા પેપર એટલે ખાસ કરીને એક IBS કરીને વિષય આવે છે, એ વિષય માટે તો બધું જ સાથે જ્ઞાન હોવું જોઈએ. કે જ્યાં એકાઉન્ટિંગ હોય ત્યાં એકાઉન્ટિંગ, જ્યાં ફાઈનાન્સ હોય ત્યાં ફાઈનાન્સ, બે ને ભેગું કરીને ભણવા માટેની એ આવડત હોવી જોઈએ અને પેપરમાં લખતા આવડવું જોઈએ. 'પાંચ વિદ્યાર્થીએ ભારતના પ્રથમ 50માં રેન્ક મેળવ્યા'CA શિક્ષક રવિ છાવછરિયાએ જણાવ્યું હતું કે, CA ફાઈનલ જાન્યુઆરી 2026ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ જબરદસ્ત સફળતાપૂર્વક સિદ્ધિ હાસિલ કરી છે. CA ફાઈનલના આ પરિણામમાં દેશનું જે રિઝલ્ટ હતું એ ટફ હતું, ઓછું હતું, પણ સુરતના વિદ્યાર્થીઓએ બહુ જ સારા પરિણામ સાથે બંને ગ્રુપ પાસ કર્યા છે અને CAની ડિગ્રી, જેને ઇન્ડિયાની વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ કહેવામાં આવે છે, એને પાસ કરી છે. CA ફાઈનલમાં કઠિન પરિણામ હોવા છતાં રેન્ક મેળવ્યોતેને વધુમાં કહ્યું હતું કે, આ વિદ્યાર્થીઓમાં હિત્સલ શાહે 12મા સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, પણ એમને ઇંગ્લિશમાં બહુ જ સારા રેન્ક સાથે ઇન્ટરમીડિયેટ અને ફાઈનલ બંનેમાં રેન્ક મેળવ્યા છે. એની સાથે ક્રિષ્ના કેરિયા, એમણે ઇન્ટરમીડિયેટ અને ફાઈનલ બંનેમાં રેન્ક સ્કોર કર્યો છે. અને અમન બદાલા, વંદન વોરા જેમણે ઇન્ટરમીડિયેટમાં સારા સ્કોર મેળવ્યા હતા પણ રેન્કથી ચૂકી ગયા હતા, એ લોકોએ CA ફાઈનલમાં કઠિન પરિણામ હોવા છતાં રેન્ક મેળવ્યો છે. આ સાથે આપણે કહી શકાય કે સુરતના વિદ્યાર્થીઓ જ્યાં સ્થિતિ વધારે કઠિન હોય ત્યાં વધારે સારા રિઝલ્ટ મેળવી રહ્યા છે. પાંચ મુખ્ય વિષયોની ઊંડાણપૂર્વક અને ડિટેલમાં તૈયારીતેને વધુમાં જણાવ્યુ હતું કે, CA ફાઈનલની તૈયારી ત્રણ વર્ષની હોય છે. એમાં એક્ઝામના છ મહિના પહેલા સિલેબસ પૂરો કરવામાં આવે છે અને અઢી વર્ષની આ તૈયારીમાં સ્ટુડન્ટ્સને જે પાંચ મુખ્ય વિષયો છે એની તૈયારી ખૂબ જ ઊંડાણપૂર્વક અને ડિટેલમાં - જેમાં પ્રેક્ટિકલ રાઈટિંગ પ્રેક્ટિસ, રેગ્યુલર સ્ટડીઝ, ડાઉટ સોલ્વિંગ અને કેવી રીતે એને સહેલી રીતે સમજી શકાય એની ટિપ્સ આપવામાં આવે છે. કારણ કે ભણે તો બધા જ છે, પણ બીજા વિદ્યાર્થીઓ CA ને બહુ કઠિન રીતે ભણે છે, બહુ ટફ કરી દે છે. આપણો હંમેશા ધ્યેય છે કે આપણે ફંડામેન્ટલ્સ ઉપર વિચાર કરીએ અને એને ઇઝી રીતે, સરળ રીતે એને પાસ કરીએ. તો આપણા મૂળભૂત સિદ્ધાંતોને સમજીને, એને સરળ રીતે આપણા મગજમાં બેસાડીને, એની સારી રાઈટિંગ પ્રેક્ટિસ કરીએ અને એનું સરસ રીતે જો આપણે એપ્લિકેશન કરીએ, તો CA ફાઈનલની પરીક્ષા ચોક્કસ રીતે પાસ કરી શકાય છે. ગયા વર્ષ અને આ વર્ષના પરિણામ વચ્ચેનો તફાવતતેમને આગળ જણાવ્યું હતું કે, ગયા વર્ષે CA ફાઈનલના પરિણામ સહેલા હતા, દેશમાં 24 થી 25 ટકા જેટલા વિદ્યાર્થીઓએ રિઝલ્ટ પાસ કર્યું હતું. પણ આ વખતે રિઝલ્ટ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર ટફ હતું, પણ સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ ઘણું સરસ હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:40 pm

પાટણમાં ઠેરઠેર હોલિકા દહન:ભક્તોએ પ્રદક્ષિણા કરી હાયડા અને છાણાના ઘેરૈયા અર્પણ કર્યા, પૂજન સાથે પરંપરા નિભાવી

પાટણ શહેર અને જિલ્લામાં શુભ મુહૂર્તમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શહેરના ચોક, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં ભક્તોએ હોલિકાનું પૂજન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે હાયડા અને છાણાના ઘેરૈયા અર્પણ કરવામાં આવ્યા હતા. લાકડા ગોઠવી મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. જે પરિવારોમાં પ્રથમ સંતાનનો જન્મ થયો હોય, તેવા પરિવારોએ સંતાન સાથે હોળીની પ્રદક્ષિણા કરી જળ અને ધાણીનો પ્રસાદ ધર્યો હતો. હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્ત પ્રહલાદને હોલિકાની અગ્નિમાંથી ભગવાન વિષ્ણુએ બચાવ્યા હતા. પાટણના નગરજનોએ પણ ભક્તિમય માહોલ વચ્ચે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોલિકા પ્રગટાવી હતી અને સૌના દુઃખ, દર્દ તથા રોગો દૂર થાય તેવી કામના વ્યક્ત કરી હતી. શ્રદ્ધાળુઓએ ખજૂર, ધાણી અને જળ સાથે હોલિકાની પ્રદક્ષિણા કરીને ભક્ત પ્રહલાદની જેમ તેમની પણ ભગવાન વિષ્ણુ સદાય રક્ષા કરે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. શહેરના હિંગળાચાચર, જૂનાગંજ, ઘીવટો, શાહનો પાડો, ઝીણીપોળ ગુર્જરવાડો, નાની-મોટી સરાય, રાજકાવાડો, લોટેશ્વર, મદારસા, સુભાષચોક, જલારામ મંદિર, ગોપીનાથ મંદિર, ગાયત્રી મંદિર વિસ્તાર, અંબાજી નેળિયા સહિત હાઈવેની સોસાયટીઓ અને મહોલ્લા-પોળોમાં હોલિકા દહન કરાયું હતું. આ ઉપરાંત, પાટણ વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા વિભાગ દ્વારા પ્રગતિ મેદાનમાં વૈદિક હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક હોળીમાં ગૌમાતાના છાણા, વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ અને ત્રણ શુદ્ધ દેશી ગાયનું ઘી મિક્સ કરીને આહુતિ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આજુબાજુના ગામોમાંથી દેશી ગાયના છાણા એકઠા કરીને જડીબુટ્ટીઓ સાથે આહુતિ તૈયાર કરી ભક્તોને નિઃશુલ્ક વિતરણ કરી હતી. ભક્તોએ મેદાનમાં આવી મંત્રો સાથે આહુતિ આપી હતી. આ મહોત્સવને સર્વત્ર ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવાનો અને બાળકોએ હોળીની પ્રદક્ષિણા કરી મંત્રો સાથે આહુતિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:35 pm

ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂના ફેઈલ:સુરત મહાનગરપાલિકાના ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના 9 નમૂના 'સબસ્ટાન્ડર્ડ' જાહેર

આઇસ્ક્રીમ ખાતા લોકો ચેતી જાજો સુરતમાં ગરમી ચાલુ થાય તે પહેલા જ આઈસ્ક્રીમના નમૂનાઓ ફેલ થયા છે. સાથે દૂધના પણ નમૂનાઓ ફેલ થયા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન લેવામાં આવેલા દૂધ અને આઈસ્ક્રીમના નમૂનાઓમાંથી કુલ 9 નમૂનાઓ નિષ્ફળ સાબિત થયા છે. આઈસ્ક્રીમ અને દૂધના નમૂનાઓ ફેઈલપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવેલા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે, એક જાણીતી આઈસ્ક્રીમ પેઢીનો 'કાજુ દ્રાક્ષ' આઈસ્ક્રીમનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ આઈસ્ક્રીમમાં મિલ્કફેટનું પ્રમાણ નિયત ધારાધોરણ કરતા ઓછું મળી આવ્યું હતું. તદુપરાંત, દૂધના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા તબેલાઓ, ફેરિયાઓ અને ડેરીઓમાંથી લેવામાં આવેલા ગાય અને ભેંસના દૂધના કુલ 8 નમૂનાઓ પણ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો મુજબના ન હોવાનું ફુડ એનાલીસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ નમૂનાઓમાં મિલ્કફેટ અને એસ.એન.એફ નું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશેસુરત મહાનગરપાલિકાએ જે દુકાનોમાંથી સબ સ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી આવી છે. તેની યાદી આપતા જણાવ્યું હતું કે, સિદ્ધિ આઇસ્ક્રીમ પાર્લે પોઇન્ટ જેમાં કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્કફેટ ઓછું જણાયું‌ હતુ. શ્રીનાથ દૂધ ડેરી કતારગામ જેમાં ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, શ્રી કૃષ્ણા ડેરી બમરોલી ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, એવન ડેરી ઉન ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, માં ચામુંડા ડેરી ઉન ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, શ્રી ભાગ્ય લક્ષ્મી ડેરી નાનપુરા ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, એસ.કે.પટેલ ડેરી પાંડેસરા ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, તબેલો ઉધના ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, રાધે દૂધ મંડળી અબ્રામા રોડ ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે સંસ્થાઓ કે વ્યક્તિઓના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, તેમની વિરુદ્ધ ફુડ સેફટી એક્ટ-2006ના નીતિ-નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:28 pm

108 ટીમે અકસ્માતગ્રસ્ત મહિલાના ઘરેણાં પરત કર્યા:ડુંગરી રોડ પર અકસ્માત બાદ 19 લાખના દાગીના પુત્રને સોંપ્યા

ડુંગરી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ મહિલાના આશરે ₹19 થી ₹20 લાખના કિંમતી દાગીના 108 એમ્બ્યુલન્સની ટીમે ઇમાનદારીપૂર્વક પરત કર્યા છે. આ ઘટના 1 માર્ચ, 2026 ના રોજ સાંજે બની હતી. મળતી માહિતી મુજબ, 1 માર્ચ, 2026 ના રોજ સાંજે 7:16 વાગ્યે ડુંગરી રોડ પર એક શાળા નજીક અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે ફોન પર જ પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ, ટીમે જોયું કે દર્દીને હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. તેમને સ્પાઈન બોર્ડ પર લઈ સર્વાઇકલ કોલર લગાવવામાં આવ્યો હતો અને હાથમાં ફ્રેક્ચર હોવાથી સ્પ્લિટ કરીને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ વાઇટલ ચેક કર્યા બાદ, ડોક્ટરની સલાહ મુજબ ઇન્જેક્શન અને સારવાર આપી તેમને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ, 108 ટીમના સભ્યો તેજલબેન અને રાકેશભાઈએ મહિલાએ પહેરેલા કિંમતી ઘરેણાં તેમના પુત્ર મિતેશભાઈને પરત કર્યા હતા. પરત કરાયેલા દાગીનામાં 10 ગ્રામની સોનાની ચેન લોકેટ સાથે, 50 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, 10 ગ્રામની સોનાની બુટ્ટી, 10 ગ્રામની સોનાની કાન શેર, 50 ગ્રામની સોનાની બંગડીઓ અને 10 ગ્રામની ચાંદીની પાયલનો સમાવેશ થાય છે. આ દાગીનાની કુલ કિંમત આશરે ₹19 થી ₹20 લાખ અંદાજવામાં આવી છે. મિતેશભાઈએ 108 ટીમના તેજલબેન અને રાકેશભાઈનો તેમની ઇમાનદારી અને સમયસર મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:18 pm

નુગર સર્કલ પાસે હોટલ માલિક પર જીવલેણ હુમલો:પાર્સલ આપવામાં મોડું થતા બે શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો, માથામાં ચમચો પણ ફટકાર્યો

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલા લકી પાર્કમાં રહેતા અને નુગર સર્કલ પાસે 'રામ ઝુંપડી કાઠીયાવાડી' હોટલ ચલાવતા રાકેશભાઈ જયંતીભાઈ રાવળ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જમવાનું પાર્સલ બનાવવામાં થોડી વાર લાગશે તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ હોટલ માલિક અને તેમના પિતાને માર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ઉશ્કેરાઇને હોટલ માલિકને ગાળો પણ ભાંઢીગત રવિવારે બપોરના સમયે રાકેશભાઈ પોતાના પરિવાર સાથે હોટલ પર હાજર હતા ત્યારે નુગર ગામના તખાજી ડાહ્યાજી ઠાકોર અને ભાવેશજી રમણજી ઠાકોર બાઈક લઈને ત્યાં આવ્યા હતા. ત્યાર બાદ તખાજી ઠાકોરે કાઉન્ટર પર આવી તાત્કાલિક શાક-રોટલીનું પાર્સલ માંગ્યું હતું. જોકે હોટલમાં અન્ય ગ્રાહકો હોવાથી રાકેશભાઈએ થોડી શાંતિ રાખવા અને વાર લાગશે તેમ જણાવતા જ બંને શખ્સ ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યા હતા. મોટો ચમચો માથામાં મારી ગડદાપાટુનો માર માર્યોતકરાર વધતા તખાજીએ કાઉન્ટર પર પડેલો મોટો ચમચો રાકેશભાઈના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ દરમિયાન ભાવેશજી ઠાકોરે પણ ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે રાકેશભાઈના પિતા જયંતીભાઈ, પત્ની અને દીકરી વચ્ચે છોડાવવા પડ્યા ત્યારે હુમલાખોરોએ પથ્થરમારો કરી પિતા-પુત્ર બંનેને ઇજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને શખ્સો 'જો અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને 108 મારફતે તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. આ મામલે રાકેશભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:08 pm

છરી લોખંડના પાઇપ સાથે ઘરમાં ઘૂસી 6 શખ્સોએ તોડફોડ કરી:ખેડૂતવાસમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જૂની માથાકુટની દાઝમાં એક પરિવાર પર હુમલો અને તોડફોડની ઘટના સામે આવી છે. જેમાં પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ધમકી આપી ત્યારબાદ રાત્રીના સમયે શખ્સોએ છરી અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી અંદાજે 15 હજાર નું નુકસાન કર્યું છે. ઘટનાને લઈ પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છરી લોખંડના પાઇપ સાથે પરિવારને ધમકાવ્યોમળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ખેડૂતવાસ રામાપીરની ડેરી પાસે રહેતા લાભુબેન કિશોરભાઈ ગોહેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ, તેમના દીકરાને થોડા દિવસો પહેલા પાડોશમાં રહેતા સંજય ઉર્ફે સુનિલ રમેશભાઈ ડાભી સાથે માથાકુટ થઈ હતી. જેને લઈ તેઓએ અગાઉ અરજી પણ કરી હતી. જે બાબતની દાઝ રાખીને ગઈકાલે સાંજના સમયે સંજય ઉર્ફે સુનિલ ધારીયું લઈને તેમના ઘર સામે આવ્યો હતો, તેમજ અપશબ્દો બોલી અને તેઓના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંજયને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ફ્રીઝ, વોટર કુલર અને ડ્રેસિંગના કાચ તોડ્યાત્યારબાદ રાત્રીના સમયે સંજયનો ભાઈ બિજલ ઉર્ફે રવિ ઉર્ફે કાળો રમેશભાઈ ડાભી તેમજ વિનય ઉર્ફે કાળો વિજયભાઈ પરમાર, ચેતન ભનાભાઈ મકવાણા અને નિલેશ ઉર્ફે ભાજી વિજયભાઈ પરમાર તેમના ઘરે આવ્યા હતાં. આ લોકો હાથમાં છરીઓ અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી ફ્રીઝ, વોટર કુલર અને ડ્રેસિંગના કાચ તોડી તોડફોડ કરી હતી. જેમાં આશરે રૂ. 15 હજારનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. છ શખ્શો સામે ગુનો નોંધાયોઘટનામાં પરિવારજનોએ વચ્ચે પડતાં શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. જે ફરિયાદના આધારે પોલીસે સંજય ઉર્ફે સુનિલ સહિત છ શખ્શો સામે BNS કલમ 352, 351(3), 333, 324(4), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 7:06 pm

ગોળીગઢ બાપુના મેળાથી નવસારી ST ડેપોને મોટી આવક:એક જ રાતમાં ₹6.12 લાખની કમાણી, 40 બસોએ 300 જેટલી ટ્રિપ્સ પૂરી કરી

દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ બાપુની જાત્રા યોજાઈ હતી. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતા નવસારી એસટી ડેપોને નોંધપાત્ર આવક થઈ છે. મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવેલી વધારાની બસોને કારણે ડેપોએ માત્ર એક રાત્રિમાં ₹6,12,631ની આવક મેળવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. નવસારી ડેપો દ્વારા કુલ 40 વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ બસોએ રાત્રિના 12 વાગ્યાથી જાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં કુલ 8,291 કિલોમીટરનું અંતર કાપીને અંદાજે 300 જેટલી ટ્રિપ્સ પૂરી કરી હતી. મુસાફરોને બસની રાહ ન જોવી પડે તે માટે વાંસકુઈ ખાતે ખાસ 'હંગામી બસ સ્ટેશન' કાર્યરત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા 'ઝીરો વેટિંગ ટાઈમ'ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી, જેથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને તુરંત પરિવહન વ્યવસ્થા મળી રહે. વ્યવસ્થા જાળવવા માટે જૂના બસ સ્ટેશન અને મેળાવડાના સ્થળે 30 વહીવટી કર્મચારીઓ ફરજ પર તૈનાત હતા. ડ્રાઈવર અને કંડક્ટરોએ સતત બે શિફ્ટમાં ફરજ બજાવી હતી. નવસારીથી વાંસકુઈ વચ્ચેના એક કલાકના રૂટ પર બસોની અવરજવર સતત ચાલુ રહી હતી. ગોળીગઢ બાપુ આદિવાસી સમાજના કુળદેવતા સમાન મનાય છે. દર વર્ષે મહા મહિનામાં ભરાતી આ જાત્રામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ખેડૂતો પોતાના પશુધનની રક્ષા અને ખેતીમાં સમૃદ્ધિની માનતા રાખવા અહીં વિશેષ રીતે આવે છે. પરંપરાગત વાદ્યોના સૂર, ધજા-નાળિયેરની પૂજા અને આદિવાસી નૃત્યોએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક સમરસતાના પ્રતીક સમાન આ મેળામાં લાખો લોકોએ બાપુના આશીર્વાદ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:55 pm

મેઘાણીનગરમાં પાડોશી યુવકે મહિલાને ગાળો આપી અને છેડતી કરી:નિકોલમાં પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર વૃદ્ધની ધરપકડ

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં મંદિરની સાફ-સફાઈ કરી રહેલી 44 વર્ષીય મહિલાની પાડોશમાં જ રહેતા એક શખ્સે છેડતી કરી ગાળાગાળી કરી હતી. પોલીસ ફરિયાદ કરશો તો 'જાનથી મારી નાખીશ'ની યુવકે ધમકી આપી હતી. આ અંગે મહિલાએ શખ્સ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પાડોશી યુવકે મહિલાને ગાળો આપી અને છેડતી કરીમાહિતી મુજબ મેઘાણીનગરમાં 44 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરે તેઓ પોતાના ઘરે એકલા હતા અને ઘરના મંદિરની સફાઈ કરી રહ્યા હતા. ચાલીમાં જ રહેતા જૈવિકસિંહ દિલીપસિંહ ચાવડા ગાળો બોલતા અને બુમો પાડતા ત્યાંથી પસાર થતાં હતા. મહિલા જ્યારે ઘરની બહાર જોવા માટે આવ્યા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. યુવકે લાકડી મહિલા પર ઉગામીજૈવિકસિંહ હાથમાં રહેલી લાકડી મહિલા તરફ ઉગામી હતી. જોકે મહિલા બાજુમાં ખસી જતા તેમનો બચાવ થયો હતો. ત્યારબાદ આરોપીએ લાકડી ફેંકી દઈ મહિલાની એકદમ નજીક આવી, તેમની છેડતી કરી ઝપાઝપી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીમહિલાએ બૂમાબૂમ કરતા ચાલીના અન્ય લોકો દોડી આવ્યા હતા અને મહિલાને છોડાવ્યા હતા. યુવક ત્યાંથી જતી વખતે ધમકી આપી હતી કે, જો આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલાએ જયવિકસિંહ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલમાં પૌત્રીની ઉંમરની બાળકીની છેડતી કરનાર વૃદ્ધની ધરપકડઅમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મહિલા સહકર્મીની પોતાની પૌત્રીની ઉંમરની દીકરી સાથે એક વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હતાં. આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી છે. મહિલા જ્યારે પોતાની પુત્રીને કારખાનામાં મૂકી અને માલિક સાથે ઓર્ડરની ડિલિવરી આપવા માટે ગઈ હતી તે દરમિયાનમાં બાળકી સોફા ઉપર બેઠી બેઠી મોબાઈલ જોતી હતી ત્યારે વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. મોબાઇલમાં સીસીટીવીથી બાળકી સુઈ નથી ગઈ ને તેવું જોવા માટે જ્યારે તપાસ કરી તો આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક કારખાનેદારે ત્યાંના અન્ય સ્ટાફને જાણ કરી હતી. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:51 pm

કપાળે ચંદનના ટીક્કા, 'તૂ ચીઝ બડી હૈ...’ પર ઠુમકા, VIDEO:સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ મહિલાને આઈટમ સોંગ પર નચાવી; ટોળું વળી સાથે મોજ માણી

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી. આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે. ફાગોત્સવના નામે ખરાબ ડાન્સથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતોસુરતની રીંગરોડ ખાતે આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વેપારીઓ દ્વારા ફાગોત્સવના નામે ખરાબ ડાન્સથી ભરપૂર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની હરકતો કેમેરામાં કેદ થઈ હતી. આ અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ આ પ્રકરણ સામે આવ્યું છે. આ ઘટનાને લઇ સમગ્ર વેપારી આલમમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઈશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા ફાગોત્સવની ઉજવણી દરમિયાન વેપારીઓએ બે મહિલાઓને બોલાવીને અશ્લીલ ડાન્સ કર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ફાટી નીકળ્યો છે. ગત વર્ષે શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં ફાગોત્સવ ઉજવવા બદલ થયેલા વિવાદ અને તેને રોકવા માટે કરાયેલી અપીલો વચ્ચે આ વર્ષે પણ આવી જ ઉજવણી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. વાયરલ વીડિયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઈશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર ફિટકાર વરસી રહી છે અને ઘણા લોકો આવી હરકતોને માન-મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. આપણે આપણી ઊજવણી સંસ્કૃતિમાં રહીને કરીએ તો સારું આ અંગે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે, રાજસ્થાનના વેપારીઓમાં સંસ્કૃતિ પ્રમાણે ફાગોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પણ શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી બધા જ વેપારીઓને ફાગોત્સવની ઉજવણી ન કરવા માટે અપીલ કરી હતી. આ વર્ષે પણ ઉજવણી થઈ છે. સંસ્કૃતિ પ્રમાણે છોકરાઓ જ છોકરીઓ બનીને આ ઉજવણીમાં જોડાતી હોય છે. જોકે કેટલાક દ્વારા મહિલાઓને લાવીને ઉજવણી કરવામાં આવે છે જે નીંદનિય છે. મહિલાઓની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના કાર્યક્રમો ન કરવા જોઈએ. પણ આ વખતે પણ જો આવું કંઈ થયું છે, તો આ નિંદનીય છે. આવું ન કરવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિમાં રહીને કરીએ તો સારું છે. મર્યાદામાં રહીને કરીએ તો સારું છે. કોઈ અભદ્ર હરકતો ન કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:43 pm

CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ:વિદ્યાર્થીએ કહ્યું, 16થી 17 કલાક તૈયારી કરી,કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પરીક્ષા પાસ કરવી અઘરી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા ઘણું ઓછું આવ્યું છે. છતાં અમદાવાદ સેન્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવ્યો છે તો નિમિષ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ગ્રુપ-1માં 178 વિદ્યાર્થીઓ અને ગ્રુપ-2માં 18 વિદ્યાર્થી પાસ થયાઅમદાવાદ કેન્દ્રના બંને ગ્રુપની પરીક્ષામાં કુલ 635 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાંથી 88 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. જેની ટકાવારી 13.86 ટકા નોંધાઈ છે. તેમજ ગ્રુપ-1માં 872 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 178 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેની ટકાવારી 20.41 ટકા છે. ગ્રુપ-2 406 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા જેમાં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેની ટકાવારી 4.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સપ્ટેમ્બર-2025માં અમદાવાદનું પરિણામ 23.18 ટકા અને મે-2025માં 19.35 ટકા રહ્યું હતું. ભારતમાં 2446 વિદ્યાર્થીઓ પાસ ભારતમાંથી બંને ગ્રુપમાં કુલ 22293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2446 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની કુલ ટકાવારી 10.97 ટકા થાય છે. જાન્યુઆરી-2026ની આ પરીક્ષાના પરિણામ સાથે દેશને નવા 7590 ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રાપ્ત થયા છે. હર્ષ સોનારાએ 9મો અને નિમિશ શાહે 27મો રેન્ક મેળવ્યો ICAI અમદાવાદના ચેરમેન સીએ રિંકેશ શાહે જણાવ્યું હતું કે, ICAI ની અમદાવાદની બ્રાન્ચમાંથી બે લોકોએ રેન્ક મેળવ્યા છે. હર્ષ સોનારાએ 9મો રેન્ક અને નિમિશ શાહે 27મો રેન્ક મેળવ્યો છે. અમદાવાદમાં બંને ગ્રુપમાં 635 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા જેમાંથી 88 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમજ ગ્રુપમાં 1માં 872 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 178 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રુપ 2માં 406 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઓલ ઓવર ઇન્ડિયા અને અમદાવાદનું રીઝલ્ટ ગયા વર્ષ કરતા ઓછું આવ્યું છે. 'પેપર આ વખતે અઘરા પૂછાયા હતા'ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, પેપર આ વખતે અઘરા પૂછાયા હતા. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા તે લોકો જ આ વખતની પરીક્ષામાં પાસ થયા છે. જે લોકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા ન હતા તે લોકો પાસ થયા નથી. થીયરીકલ નોલેજ જે લોકો પાસે હતું તે લોકો પાસ થયા છે. '16થી 17 કલાક તૈયારી કરી, થીયરી સબ્જેક્ટ પર સૌથી વધુ ફોકસ આપ્યું'ઓલ ઇન્ડિયા 9મો રેન્ક મેળવનાર અને અમદાવાદમાં ટોપ કરનાર હર્ષ સોનારાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં 12થી 13 કલાક તૈયારી કરી છે. પરીક્ષા દરમિયાન એક રજા મળતી હોય છે જેમાં 16થી 17 કલાક તૈયારી કરી છે. થીયરી સબ્જેક્ટ પર સૌથી વધુ ફોકસ આપ્યું હતું. તેમજ સમરી બનાવીને તૈયારી કરતો હતો જેથી છેલ્લા દિવસોમાં મહેનત ઓછી કરવી પડે. લોકોને આશા હોય છે કે ફાઇનલમાં સારા રેન્ક આવે જેથી માનસિક તણાવ રહેતો હોય છે. પરંતુ હું તે બધા તણાવથી દૂર રહેતો હતો. પરિવારના સપોર્ટમાં કારણે અન્ય કોઈ તકલીફ થઈ નથી. જે પણ વાંચીએ તે સારી રીતે વાંચવું જોઈએ. કારણ કે અત્યારે પેપર ઘણા અઘરા પૂછાઇ રહ્યા છે. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પરીક્ષા પાસ કરવી અઘરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:33 pm

વિશ્વ ઉમિયાધામમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ:ઘુમામાં ભાગવત કથા દરમિયાન વિકસિત ભારતના સંકલ્પ માટે મુખ્યમંત્રીનું પ્રેરક આહ્વાન

અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ગામ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં ભક્તિ અને કર્તવ્યભાવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી કથા શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તબક્કે સત્સંગ અને જનસેવા વચ્ચેના અતૂટ સંબંધ પર ભાર મૂકીને ઉપસ્થિત ભાવિકોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સત્સંગ અને જવાબદારીનું પ્રતિબિંબ કથા શ્રાવકોને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય પાસું છે. તેમણે અત્યંત નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે, જ્યારે જનતા સરકાર પર વિશ્વાસ મૂકે છે અને અભિવાદન કરે છે, ત્યારે તે માત્ર સન્માન નથી, પણ જવાબદારીનો અહેસાસ છે. જનતા દ્વારા પાડવામાં આવતી દરેક તાળી સરકારની નૈતિક જવાબદારીમાં અનેકગણો વધારો કરે છે. પ્રજાનો અખૂટ વિશ્વાસ જાળવી રાખવો એ જ શાસનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. વિકસિત ભારતનો સંકલ્પ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ નાગરિકોને એકજૂથ થઈને આગળ વધવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવના જ્યારે સાથે મળે છે, ત્યારે દેશની પ્રગતિની ગતિ બમણી થઈ જાય છે. આ ભગીરથ કાર્યમાં દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે યોગદાન આપી લીન થવું જોઈએ. ભાગવત કથા: જીવન જીવવાનું અમૃત આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપીને શ્રદ્ધાળુઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાગવત કથા એ માત્ર કાનથી સાંભળવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જીવનમાં ઉતારવા જેવું અમૃત છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનના આદર્શો અને સંદેશાઓ આજના આધુનિક યુગમાં પણ એટલા જ પ્રાસંગિક છે. મંત્રીએ સૌને કથાના સારમાંથી પ્રેરણા લઈ જીવનમાં સદગુણો કેળવવા આહ્વાન કર્યું હતું. રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીની અમૃતવાણી વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં સુપ્રસિદ્ધ કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ પોતાની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના વિવિધ પ્રસંગો દ્વારા તેમણે માનવ કલ્યાણ અને ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં વિશ્વ ઉમિયાધામના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રાવકોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:32 pm

ભાવનગરની આશુતોષ વિદ્યાલયમાં ધુળેટી પર્વની ઉજવણી:શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એકબીજા પર અબીલ-ગુલાલ અને પાણી છાંટી રંગોના તહેવારની ઉજવણી કરી

ભાવનગર શહેરના ઘોઘરોડ પર આવેલી આશુતોષ વિદ્યાલય ખાતે 2 માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહભેર એકબીજા પર રંગો, અબીલ-ગુલાલ અને રંગીન પાણી છાંટીને ધુળેટીની મજા માણી હતી. આ ઉજવણી આશુતોષ વિદ્યાલયના ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા અને મનીષાબેનના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. શાળાના આચાર્ય યશ ચાવડાની અનોખી પહેલથી બાળકોમાં તહેવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. બાળકોએ પરંપરાગત રીતે રંગોત્સવની ઉજવણી કરી હતી, જેણે શાળાના વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું.હોળી અને ધુળેટી એ હિન્દુ ધર્મનો એક મુખ્યપૌરાણિક અને રંગોત્સવનો તહેવાર છે જે ફાગણ મહિનાની પૂનમના દિવસે (હોળી) અને બીજે દિવસે (ધુળેટી/રંગવાળી હોળી) ઉજવવામાં આવે છે. આ પર્વ અસત્ય પર સત્ય અને અનિષ્ટ પર ઈશ્વરીય શક્તિની વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે. જેમાં ધુળેટીનું મહત્વ એટલે બીજો દિવસે રંગોત્સવ જે હોળીના બીજા દિવસે લોકો એકબીજા પર રંગો અબીલ-ગુલાલ અને રંગીન પાણી છાંટીને ખુશીઓ વહેંચે છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:27 pm

વુમનીયા ગ્રૂપ દ્વારા 13મા વર્ષે ફાગોત્સવનું આયોજન:દાહોદમાં 32 મહિલા મંડળોએ રાધા-કૃષ્ણ રાસ સાથે સમરસતા દર્શાવી

દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ. અહીં હોળી પર્વની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ ઘણા દિવસો પહેલાથી જ વિવિધ કાર્યક્રમો અને મેળાઓની શરૂઆત થઈ જાય છે. આ જ પરંપરાને જાળવી રાખીને, દાહોદમાં 'વુમનીયા ગ્રૂપ' દ્વારા સતત 13માં વર્ષે અત્યંત ઉલ્લાસપૂર્વક 'ફાગોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા અને મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર હોળી ઉજવવાનો નથી, પરંતુ જિલ્લાભરના વિવિધ સમાજની મહિલાઓને એક મંચ પર લાવવાનો છે. સામાજિક સમરસતાના સંદેશ સાથે યોજાતા આ ફાગોત્સવમાં દરેક સમાજની બહેનો પોતાના ગ્રૂપ સાથે ઉત્સાહભેર ભાગ લે છે. આ કાર્યક્રમ મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ બન્યું છે. 32 મહિલા મંડળોની મનમોહક પ્રસ્તુતિ આજરોજ યોજાયેલા ભવ્ય ફાગોત્સવમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 32 જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું વાતાવરણ ત્યારે ભક્તિમય અને સાંસ્કૃતિક બની ગયું જ્યારે મહિલાઓએ પારંપરિક વેશભૂષામાં ફાગગીતો અને ફાગ રસિયાની રમઝટ બોલાવી હતી. વિવિધ થીમ ઉપર આધારિત નૃત્ય પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને, રાધા-કૃષ્ણની વેશભૂષામાં સજ્જ થઈને મહિલાઓએ કરેલા નૃત્યોએ વાતાવરણને વૃંદાવન જેવું બનાવી દીધું હતું. અબીલ-ગુલાલ અને પુષ્પવર્ષા વચ્ચે હોળી પર્વનો પ્રારંભ કાર્યક્રમ દરમિયાન અબીલ-ગુલાલની છોળો અને પુષ્પવર્ષા થતાં સમગ્ર માહોલ હોળીના રંગમાં રંગાઈ ગયો હતો. આમ તો હોળી આવવામાં વાર હોય છે, પરંતુ આ કાર્યક્રમે દાહોદમાં હોળી પર્વની વહેલી શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જી દીધો હતો. મહિલાઓના આ ઉત્સાહને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. સતત 13 વર્ષથી યોજાતા આ કાર્યક્રમની સફળતાએ સિદ્ધ કર્યું છે કે દાહોદની મહિલાઓ પોતાની સંસ્કૃતિ પ્રત્યે કેટલી જાગૃત અને ઉત્સાહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:23 pm

જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી: ₹1.5 કરોડના વિકાસકામો મંજૂર.:​જૂનાગઢના સૌંદર્યીકરણ માટે મહાનગરપાલિકાનો મોટો નિર્ણય: મજેવડી દરવાજે સિંહ અને દાતાર રોડ પર વિવેકાનંદજીની પ્રતિમા મુકાશે, લઘુકુંભના સફળ આયોજન બદલ અધિકારીઓનું સન્માન.

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વની બેઠક આજે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને જનસુખાકારી માટે અંદાજે ₹1.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને અન્ય સમિતિ સદસ્યોની ઉપસ્થિતિમાં શહેરના બ્યુટિફિકેશન માટેના મહત્વના એજન્ડાઓ પર મહોર મારવામાં આવી હતી. ​જૂનાગઢની ઐતિહાસિક ઓળખને વધુ ઉજાગર કરવા માટે મનપા દ્વારા બ્યુટિફિકેશન ગ્રાન્ટ અંતર્ગત મહત્વના નિર્ણયો લેવાયા છે જેમાં જૂનાગઢના પ્રવેશદ્વાર સમાન મજેવડી દરવાજા પાસે એશિયાઈ સિંહની ભવ્ય પ્રતિમા મુકવામાં આવશે.દાતાર રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિવેકાનંદજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરાશે.ભવનાથ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર આધુનિક 'વિન્ડ સ્પિનર સ્કલ્પચર' મુકવા માટે ₹36,99,000ના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે 'રંગ ધ બ્રાન્ડિંગ આઈડીયાલીસ્ટ' એજન્સીની પસંદગી કરવામાં આવી છે. ​ગત 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા 'મહાશિવરાત્રી લઘુકુંભ મેળો-2026'ના સફળ આયોજન બદલ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા. કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ મેળામાં ૨૪ કલાક પાણીની સુવિધા, અવિરત સ્વચ્છતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન જાળવનાર તમામ અધિકારીશ્રીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે મેળાના પાંચ દિવસ દરમિયાન અને અગાઉના બે મહિનાથી જે રીતે નાના કર્મચારીથી લઈને મોટા અધિકારીઓએ રાત-દિવસ જોયા વગર જહેમત ઉઠાવી છે, તેના કારણે જ દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ જૂનાગઢની વ્યવસ્થાના વખાણ કર્યા છે. આ નિષ્ઠાને સન્માનવું એ અમારી ફરજ છે. ​મેળો પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ મેળાના મેદાનને સંપૂર્ણ સ્વચ્છ કરી દેનાર સફાઈ કામદારોની કામગીરીની પણ બેઠકમાં ખાસ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરના ટ્રાફિક અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓના સુચારૂ સંચાલન માટેની વિવિધ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં બાલાભાઈ રાડા, અંકિતભાઈ માવદીયા અને વનરાજભાઈ સોલંકી સહિતના સદસ્યોએ વિકાસલક્ષી ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:20 pm

દ્વારકા ફૂલડોલ ઉત્સવ દરમિયાન પોલીસે યાત્રિકોની સંવેદનશીલ મદદ કરી:વૃદ્ધાને સારવાર બાદ દર્શન કરાવ્યા, દિવ્યાંગ ભક્તની માનતા પૂરી કરાવી

દ્વારકા ખાતે હોળી-ધુળેટી નિમિત્તે યોજાયેલા ફૂલડોલ ઉત્સવ દરમિયાન દેવભૂમિ દ્વારકા પોલીસે યાત્રિકો પ્રત્યે સંવેદનશીલ સેવા પૂરી પાડી હતી. આ ઉત્સવમાં ભક્તિ અને સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો. સવારે 7.00 વાગ્યે કેરળથી ખાસ ટ્રેન મારફતે આવેલા અંદાજે 400 યાત્રિકોમાંથી 76 વર્ષીય એક વૃદ્ધાની તબિયત અચાનક બગડી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસ ટીમે તરત જ ખાનગી વાહનની વ્યવસ્થા કરી વૃદ્ધાને નજીકની હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર અપાવી. સારવાર બાદ વૃદ્ધાએ દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસના સહકારથી તેમના સ્નેહીઓ સાથે વૃદ્ધાને મંદિરે લઈ જઈ સુવિધાપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ પોલીસની માનવતાભરી સેવા દર્શાવી. આ ઉપરાંત, ખંભાળિયાથી આવેલા એક દિવ્યાંગ ભક્તની અડગ આસ્થા જોઈ પોલીસ જવાનોએ તેમને મદદ કરી. ભક્ત ગોમતી ઘાટ સુધી પહોંચવા માંગતા હતા. દ્વારકા પોલીસે તેમને ગોમતી ઘાટ સુધી સહારો આપી પહોંચાડ્યા. ત્યાં પોતાના હાથે પવિત્ર જળથી હાથ ધોવડાવી તેમની માનતા પૂર્ણ કરાવી. પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા યાત્રિકો માટે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સહાનુભૂતિ અને સહાયની ભાવના સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ફરી એકવાર સાબિત થયું કે યાત્રાધામમાં આવનાર દરેક દર્શનાર્થી માટે પોલીસ પરિવાર સમાન સાથીદાર બની રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:16 pm

ભરૂચની કલરવ શાળામાં ફૂલોથી ધૂળેટી ઉજવાઈ:મનો દિવ્યાંગ બાળકોએ ગીત-સંગીત સાથે આનંદ માણ્યો

ભરૂચની કલરવ શાળામાં મનો દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રંગોના પર્વને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુથી બાળકોએ ફૂલોથી ધૂળેટી રમી હતી. ગીત-સંગીતના સથવારે વિદ્યાર્થીઓએ ડાન્સ અને ગરબા રમી નિર્દોષ આનંદ માણ્યો હતો. કાર્યક્રમને વધુ રોમાંચક બનાવવા મુકેશ ખન્ના દ્વારા સાઉન્ડ સિસ્ટમની સેવા પૂરી પાડવામાં આવી હતી. હોળીના લોકપ્રિય ગીતો વાગતા બાળકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઉજવણીના અંતે તમામ બાળકોને ધાણી અને ખજૂરનું વિતરણ કરી હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નીલા મોદી, તમામ શિક્ષકો અને સંસ્થાના સભ્યો હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:15 pm

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત

Oman Sea Drone Attack : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા મીડિયા રિપોર્ટ મુજબ, ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી 52 નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા MKD વ્યોમ તેલ ટેન્કર પસાર થઈ રહ્યું છે.

ગુજરાત સમાચાર 2 Mar 2026 6:10 pm

મોરબીમાં 47 વર્ષીય જમીન દલાલની હત્યાનો મામલો:5 આરોપી ઝડપાયા,આરોપીઓનું સરઘસ કાઢવા અને કડક સજાની માંગ;કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબીમાં એક 47 વર્ષીય જમીન દલાલ તાજમહમદ ભટ્ટીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આરોપીઓનું સરઘસ ન કાઢવામાં આવતા સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી આરોપીઓનું સરઘસ કાઢવા અને કડક સજાની માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા 47 વર્ષીય તાજમહમદ ભટ્ટી ગત 19 ફેબ્રુઆરીના રોજ ગુમ થયા હતા. ત્યારબાદ તેમની હત્યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોલ નામના બંધ કારખાનામાં જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખી સળગાવી દેવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવા માટે ખાડો પૂરી તેના પર પાકું ધાબું ભરી દેવાયું હતું. પોલીસે જેસીબીની મદદથી સ્થળ પર ખાડો ખોદી તાજમહમદભાઈના અવશેષો કબજે કર્યા હતા. મૃતકના પુત્રની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 5 આરોપીઓને પકડીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટના બાદ મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોરબી કલેક્ટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે આવેદનપત્ર આપીને હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી. આ ઉપરાંત, 47 વર્ષીય જમીન દલાલ તાજમહમદ ભટ્ટીની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 6:03 pm

નાના ઉમરડા શાળા નજીક ખુલ્લી ગટર, વિદ્યાર્થીઓ પરેશાન:6 મહિનાથી ઢાંકણા ખુલ્લા, રોગચાળાનો ભય, તાત્કાલિક કાર્યવાહીની માંગ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામની પ્રાથમિક શાળા નજીક છેલ્લા છ મહિનાથી ખુલ્લી ગટર લાઈનોને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઈનના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે, જેનાથી રોગચાળાનો ભય અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે. પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી આ ખુલ્લી ગટર લાઈન નાના બાળકો માટે જોખમી છે, કારણ કે તેઓ તેમાં પડી શકે છે. આ ઉપરાંત, ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ગંભીર રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. છ મહિનાથી આ સ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર શાળા જ નહીં, પણ શાળાની આજુબાજુ રહેતા રહીશો પણ આ ખુલ્લી ગટરની અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરની ગંદકી અને વાસને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ગ્રામ પંચાયતે નવી લાઈન તો નાખી દીધી, પરંતુ તેના ઢાંકણા ફીટ કરવાનું ભૂલી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિકો તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઈનના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાતો અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:58 pm

ખેલે સાણંદ સીઝન–3:કબડ્ડી-ખોખોના રોમાંચક જંગમાં 7 ગામોની 9 ટીમો વચ્ચે ખેલાયો પ્રતિભાનો મહાકુંભ

સાણંદ તાલુકામાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાડતા ‘ખેલે સાણંદ’ સ્પોર્ટ્સ લીગ સીઝન–3 ના ફલક પર સુપર લીગ અને લીગ પૂલના મુકાબલાઓ રવિવારે ઝાંપ અને કાણેટી ખાતે અત્યંત રોમાંચક રીતે સંપન્ન થયા. વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ગ્રામ્ય યુવા શક્તિએ મેદાન ગજવ્યું હતું. ઝાંપ અને કાણેટીમાં ખેલાયો ખરાખરીનો જંગ સુપર લીગ રાઉન્ડનું આયોજન ઝાંપ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે કાણેટીમાં લીગ પૂલના રસાકસીભર્યા મુકાબલા યોજાયા હતા. આ બંને તબક્કામાં કુલ 7 ગામોની 9 ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન કુલ 9 હાઈ-વોલ્ટેજ મેચો રમાઈ હતી, જેમાં અંડર-14 વિભાગમાં છોકરીઓની ખો-ખો તેમજ છોકરા-છોકરીઓની કબડ્ડી સ્પર્ધા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી. વિજેતા ટીમો અને આગામી રાઉન્ડ સુપર લીગ રાઉન્ડમાં યજમાન ઝાંપ ગામની ટીમોનો દબદબો જોવા મળ્યો હતો. ઝાંપ તરફથી છોકરીઓની ખો-ખો ટીમ અને છોકરાઓની કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતાપદ હાંસલ કર્યું હતું. બીજી તરફ, કાણેટી ખાતે યોજાયેલ લીગ પૂલમાં અંડર-14 છોકરીઓની કબડ્ડી સ્પર્ધામાં શેલા અને કાણેટીની ટીમોએ પોતાની કુશળતાના જોરે આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. આયોજન પાછળના પથદર્શક આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઝાંપ શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ ભાઈરામ પટેલ અને સ્થાનિક સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાણેટી ખાતે હરપાલસિંહ વાઘેલાએ તમામ વ્યવસ્થાઓનું સુચારુ સંચાલન કર્યું હતું. ‘ટીમ ખેલે સાણંદ’એ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે છુપાયેલી રમત પ્રતિભાને બહાર લાવી યુવાનોમાં આત્મવિશ્વાસ વધારવાનો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:58 pm

ગોધરાના વેરૈયા ગામના સરપંચ પતિને રેલવે પોલીસે માર માર્યાનો આક્ષેપ:ડેરોલ સ્ટેશને ઓરડીમાં પૂરી ઢોર માર માર્યો, માથામાં 5 ટાંકા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેરૈયા ગામના સરપંચ પતિ રણજીતસિંહ પર્વતસિંહ પરમારને ડેરોલ રેલવે પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ભોગ બનનારનો દાવો છે કે રેલવેના કોઈ ગુના સાથે સંબંધ ન હોવા છતાં તેમને માર મારવામાં આવ્યો હતો. રણજીતસિંહ પરમારને ગત 26 ફેબ્રુઆરીના રોજ સંજય ચુડાસમા નામના પોલીસ કર્મચારીએ ડેરોલ રેલવે સ્ટેશન પર મળવા બોલાવ્યા હતા. તેમને ગામમાં બે પક્ષો વચ્ચે ચાલી રહેલા ઝઘડાના સમાધાન અથવા પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા. રણજીતસિંહનો આક્ષેપ છે કે તેઓ ડેરોલ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને પોલીસ ચોકીની એક ઓરડીમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યાં હાજર પોલીસકર્મીએ કોઈ સચોટ કારણ વગર દંડા વડે તેમને ઢોર માર માર્યો હતો. આ કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા. શરીરના અન્ય ભાગો પર પણ મારના નિશાન સ્પષ્ટપણે દેખાય છે. ઘટનાના દિવસે મોડી રાત્રે વેરૈયા ગામમાં 'રેલવે DYSP' લખેલી એક ગાડી જોવા મળી હતી. સરપંચના પતિએ આ ગાડીનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ મામલે પ્રશ્ન ઊભો થયો છે કે રેલવે પોલીસની હકુમત બહાર ગામમાં આ ગાડી કેમ આવી હતી. ભોગ બનનાર રણજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, “મારો કોઈ ગુનો નહોતો, છતાં મને પશુની જેમ માર મારવામાં આવ્યો છે.” આ અન્યાય સામે રણજીતસિંહ પરમારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ન્યાયની માંગ કરી છે અને દોષિત પોલીસકર્મી સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે. આ મામલે ગોધરા રેલવે પોલીસ મથકના PI એચ.વી. તડવીએ જણાવ્યું હતું કે, “આ મામલે વિગતવાર જાણવા મળ્યું નથી, તે તપાસનો વિષય છે. તપાસ બાદ આગળ જોઈશું.”

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:56 pm

દર્દીના ખાટલામાં સૂઈ ગયા ડોક્ટર્સ:LG હોસ્પિટલનો વીડિયો વાયરલ, 4 થી 6 માર્ચ આકરી ગરમી માટે તૈયાર રહેજો, દહેજની ભૂખે વિખેર્યો પરિવાર

યુવાનની બસ પર પડ્યો મિસાઈલનો કાટમાળ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કુવૈતમાં રહેતા સુરતી યુવાનની બસ પર જ પડ્યો મિસાઈલનો કાટમાળ.. એટલું જ નહીં તેણે ભાસ્કરને હાલની સ્થિતિ પણ જણાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતના 300થી વધુ શ્રદ્ધાળુઓ મક્કામાં ફસાયા સુરત જિલ્લાના 300થી વધુ શ્રદ્ધાળુઓ મક્કા-મદીનામાં ફસાયા.. મિડલ-ઈસ્ટમાં ફ્લાઈટ્સ રદ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે..સરકાર પાસે ફસાયેલા હાજીઓને સુરક્ષિત પાછા લાવવા પરિવારજનોએ માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસાણાના બે પરિવાર દુબઈમાં ફસાયા ઈરાન- ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મહેસાણાના પણ બે પરિવારો દુબઈમાં ફસાયા.. ધંધાના કામથી ગયેલા વેપારી અને બહુચરાજી એપીએમસીના પૂર્વ ચેરમન અને તેમના પરિવારના 8 લોકો ત્યાં ફસાયા છે.. 4 માર્ચથી બાળકોની પરીક્ષા શરુ થઈ રહી છે, પણ ફ્લાઈટ સેવા બંધ થતા પરિવાર ત્યાં જ ફસાઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુદ્ધની સ્થિતિમાં પણ ફરવા જવાનો ઉત્સાહ યથાવત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતીઓનો ફરવા જવાનો ઉત્સાહ યથાવત.. ટુર પેકેજિસ કેન્સલ કરાવવાની જગ્યાએ માત્ર તારીખોમાં ફેરફાર કરાવ્યો.ટુર સંચાલકો પણ દુબઈની જગ્યાએ બાલી-થાઈલેન્ડ અને મલેશિયાના ઓપ્શન આપી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં આજે હોલિકા દહન કરાશે આજે રાજ્યમાં હોલિકા દહન કરવામાં આવશે. ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી, ચાર માર્ચે ધૂળેટી ઉજવવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CA-AIR ટોપ 50માં વડોદરાના 5 વિદ્યાર્થી સીએ ફાઈનલના રિઝલ્ટમાં વડોદરાના પાંચ વિદ્યાર્થીઓએ ટોપ-50માં મેદાન માર્યું. 29મો રેન્ક મેળવનાર તીર્થે ફસ્ટ ટ્રાયલે એકઝામ ક્રેક કરી. તો ફ્રુટની લારી ચલાવતા પિતાની દીકરીએ પણ પરીક્ષા પાસ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ બાઈક ચાલકે વિદ્યાર્થિનીઓને પટકી વડોદરામાં ફૂલ સ્પીડમાં આવતા બાઈક ચાલકે ત્રણ વિદ્યાર્થિનીઓને ફંગોળી...એક્ટિવા પર જઈ રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને બાઈકે અડફેટમાં લીધી..એકની હાલત ગંભીર, એકના પગ પરથી રિક્ષા ફરી વળી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દહેજની ભૂખે પરિવાર વેરવિખેર કરી નાખ્યો સુરતના વરાછામાં દહેજની ભૂખથી કંટાળીને એક યુવતીએ લગ્નના 9 મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. દીકરીએ રડતા રડતા પિતાને કહેલું- '2 લાખ માટે હેરાન કરે છે'..આ મામલે પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દર્દીના ખાટલામાં ડોક્ટર અને ટેક્નિશીયન સૂઈ ગયા અમદાવાદની એલજી હોસ્પિટલમાં બે ડોક્ટરો, સર્વન્ટ તેમજ ટેકનીશીયન દર્દીના ખાટલા પર સૂઈ ગયા..કેઝ્યુલ્ટી વિભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલ તંત્રએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં ગરમીનું ટોર્ચર શરુ માર્ચની શરુઆતમાં જ ગરમીની પણ શરુઆત થઈ ગઈ.24 કલાકમાં તાપમાન 2 તાપમાન વધ્યું,.. હજુ ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી છે.. 4થી 6 માર્ચ લોકો માટે ભારે રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:55 pm

માળિયા હાટીનામાં HPV રસીકરણનો ભવ્ય પ્રારંભ:કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે સુરક્ષિત કરવા જૂનાગઢ આરોગ્ય વિભાગનું વિશેષ રસીકરણ અભિયાન

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપવા માટે 'HPV' (Human Papillomavirus) વેક્સિન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમનો અત્યંત ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ તાલુકાની ઉગતી પેઢીની કિશોરીઓને ભવિષ્યમાં થતા જીવલેણ કેન્સરના જોખમ સામે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે. આરોગ્ય અને શિક્ષણ વિભાગનું સંકલન આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓએ રસીની અનિવાર્યતા સમજાવતા જણાવ્યું હતું કે, ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે HPV રસી એ સૌથી અસરકારક અને વૈજ્ઞાનિક માધ્યમ છે. આ ઝુંબેશને સો ટકા સફળ બનાવવા માટે શાળાના શૈક્ષણિક સ્ટાફ અને આરોગ્ય ટીમો વચ્ચે સચોટ સંકલન સાધવામાં આવ્યું છે. તાલુકાની તમામ પાત્રતા ધરાવતી બાળાઓને આ રક્ષણાત્મક રસી મળે તે માટે સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. ઝુંબેશને વેગવંતી બનાવવા આયોજન આગામી દિવસોમાં માળિયા હાટીના તાલુકાના અંતરિયાળ ગામો અને તમામ શાળાઓમાં આ અભિયાનને વેગવંતું બનાવવામાં આવશે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર, તમામ મેડિકલ ઓફિસર, RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ની ટીમો તેમજ વિવિધ હાઈસ્કૂલના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓ અને સહયોગી સંસ્થાઓ આ સેવાયજ્ઞમાં ખંતપૂર્વક જોડાઈ છે જેથી એક પણ કિશોરી આ સુરક્ષાથી વંચિત ન રહી જાય.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:53 pm

કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલો:આણંદના બે ગુજરાતીઓ ફસાયા, વિદ્યાનગરનો પરિવાર એથેન્સમાં અટવાયો

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ કુવૈત એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ ઘટનામાં આણંદના બે ગુજરાતીઓ કુવૈત એરપોર્ટ પર ફસાયા છે, જ્યારે વિદ્યાનગરનું એક પરિવાર એથેન્સ એરપોર્ટ પર અટવાયું છે. આણંદના ગીતાબેન પટેલ અને ઉમરેઠના જયરાજ શેલત 28 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અમદાવાદથી કુવૈત પહોંચ્યા હતા. તેઓ કુવૈતથી અમેરિકા જવા રવાના થયા હતા, પરંતુ ટેક-ઓફના અડધા કલાકમાં જ યુદ્ધની સ્થિતિ અને એરપોર્ટ પર હુમલાને કારણે વિમાનને પરત કુવૈત લેન્ડ કરવું પડ્યું હતું. કુવૈત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે હોલીડે-ઇન હોટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે અને હોટલની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગીતાબેન પટેલ આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર મુકુંદરાય પટેલના પત્ની છે, જ્યારે જયરાજ શેલત ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલતના પૌત્ર છે અને ન્યૂજર્સી (અમેરિકા) અભ્યાસ તથા નોકરી માટે જઈ રહ્યા હતા. હાલમાં ફસાયેલા મુસાફરો સુરક્ષિત છે, પરંતુ યુદ્ધની ગંભીર સ્થિતિને જોતા ભારતનું વિદેશ મંત્રાલય પણ સક્રિય થયું છે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા અથવા તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાનગરનો યુએસએ સ્થિત ત્રિવેદી પરિવાર એથેન્સ એરપોર્ટ પર અટવાયું છે. છેલ્લા બે દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પ્રેમલત્તાબેન, મુકેશભાઈ, રેખાબેન, રૂતેશભાઈ, પરેશભાઈ, પારુલબેન અને સોહમભાઈ સહિતના સાત સભ્યોનું આ પરિવાર નોવાર્કથી એથેન્સ, દુબઈ થઈને અમદાવાદ આવી રહ્યું હતું. એથેન્સ એરપોર્ટ પર ફ્લાઇટ અટવાતા પરિવાર ભારત ક્યારે પહોંચશે તેની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે, પરંતુ ભારત આવવાની ફ્લાઇટ રદ થતાં પુનઃ અમેરિકા જવા પણ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:49 pm

ઓઢવમાં હોળીના કલર નાખવા મામલે યુવકનો જીવ ગયો:અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે યુવકને ધક્કો માર્યો, માથામાં ઈંટ વાગતા ગંભીર ઈજા; સારવાર દરમિયાન મોત

હોળી-ધુળેટીનો તહેવાર હોવાને લઈને ધુળેટી રમવા માટે કલર નાખવા બાબતે ઓઢવ વિસ્તારમાં યુવકે જીવ ગુમાવ્યો છે. વૃદ્ધા અને તેમની પૌત્રી પર એક સગીરે કલર નાખ્યો હતો. મહિલાએ સગીરને કલર નાખવાની ના પાડી હોવા છતા તે માન્યો ન હતો. જેથી વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવ્યો હતો. બાદમાં પુત્રે સગીરને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો મારતા તે નીચે પડતા માથામાં ઇંટ વાગી જતા બેભાન થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લઇ જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે વૃદ્ધાએ સગીર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોધાવ્યો છે. વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી છતાં માન્યો નહીંમળતી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધા પરિવાર સાથે રહે છે અને મજૂરીકામ કરે છે. ગત 1 માર્ચે બપોરના સમયે વૃદ્ધા તેમની 14 વર્ષની પૌત્રી સાથે રઘુવીર એપાર્ટમેન્ટના ગેટની બહાર હતા. ત્યારે 17 વર્ષીય સગીર તેમની પાસે આવીને બંનેના માથા પર હોળીનો કલર નાખ્યો હતો. વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી પરંતુ તે માન્યો ન હતો. અમે ક્રિશ્ચિયન છીએ અમે હોળી રમતા નથીબાદમાં વૃદ્ધા ઘરે ગઈ હતી અને તેમના 35 વર્ષના પુત્રને કહ્યું હતું જેથી યુવકે સગીરને કહ્યુ કે, અમે ક્રિશ્ચિયન છીએ અમે હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો માર્યો હતો. જેથી યુવક નીચે પડી જતા માથાના ભાગે ઇંટ વાગતા બેભાન થઇ ગયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા સગીરની અટકાયતસારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે વૃદ્ધાએ સગીર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોધાવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:46 pm

ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ઝુંબેશ:42 જિલ્લા-મહાનગર પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની નિમણૂક, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત બનાવવાનો પ્રયત્ન

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગરમાંથી બહાર પડેલા આ નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. 9 જિલ્લાઓમાં નવા પ્રભારીઓ નિયુક્ત કરાયાસુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી ચૂંટણી અને સંગઠન વિસ્તરણને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રો અનુસાર દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સક્રિયતા વધારવા, સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. એવી ચર્ચા છે કે, કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ છુપાયેલી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વના શહેરોની જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં ‘પરફોર્મન્સ’ હવે પ્રમોશનની ચાવી બનશે. આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી પર જ તેમની રાજકીય ઊંચાઈ નિર્ભર રહેશે, એવું રાજકીય વિશ્લેષકો માનતા દેખાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:45 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:નેશનલ લેવલનો વેઈટલિફ્ટિંગ એથ્લેટ તો ગજબનો ગઠીયો નીકળ્યો, વરાછામાં દહેજે પરિણીતાનો જીવ લીધો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:43 pm

સુરત મનપાના ડમ્પરે કેમિસ્ટને કચડ્યો, માથું છૂંદાઈ જતાં મોત:મેડિકલ સ્ટોર બંધ કરી ઘરે જતો હતો ને અડફેટે લીધો, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે(1 માર્ચ) રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા એક ડમ્પરના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહેલા 34 વર્ષીય કેમિસ્ટને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં યુવકનું માથું ટાયર નીચે આવી જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મેડિકલ સ્ટોર બંધ કરી ઘરે જતી વખતે કાળ ભેટ્યોમળતી વિગત અનુસાર, મૃતક લવલેશ અરવિંદ કુમાર (ઉં.વ. 34) વ્યવસાએ કેમિસ્ટ હતા અને પોતાનો મેડિકલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. રવિવારની રાત્રે તેઓ પોતાની બર્ગમેન મોપેડ (GJ-05-TV-2549) પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતાં. ત્યારે વિનાયકનગર, ઉધના સામેના જાહેર રોડ પર અશોક લેલેન્ડ કંપનીના ડમ્પર (GJ-05-GV-3079)ના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરનું ટાયર માથા પર ફરી વળતાં છૂંદાઈ જતાં મોતઅકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ લવલેશભાઈ રોડ પર પટકાયા હતા. ડમ્પરની ગતિ એટલી વધારે હતી કે ચાલક બ્રેક મારે તે પહેલાં જ ડમ્પરનું પાછળનું વ્હિલ લવલેશભાઈના માથાના ભાગે ફરી વળ્યું હતું. માથું છુંદાઈ જવાને કારણે લોહીલુહાણ હાલતમાં તેમનું તે ક્ષણે જ મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીલવલેશભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેઓ પોતાના પાછળ બે નાના બાળકો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. એક હસતો-ખેલતો પરિવાર સુરત મનપાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકની બેદરકારીનો ભોગ બન્યો છે. મોડી રાત્રે ઘરે પરત ફરવાની રાહ જોતા પરિવારને જ્યારે મોતના સમાચાર મળ્યા ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરીઆ ઘટના અંગે ઉધના પોલીસને રાત્રે 1 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા રાત્રે 1.20 વાગ્યે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિજય નિનામાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડમ્પર પાલિકાના કોન્ટ્રાક્ટમાં જોડાયેલું હતું, જે રોડ પર જોખમી રીતે હંકારવામાં આવી રહ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયોમૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ-05-GV-3079 ના ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન હંકારી મોત નીપજાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. પીએસઓ મનીષભાઈએ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ પી.પી. ખટાણાને સોંપી છે. હાલ પોલીસે બી.એન.એસ. ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરીને ડમ્પર જપ્ત કરવાની તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:42 pm

વડનગરના સુંઢીયા પાસે સબમર્સીબલ પંપની ફેક્ટરીમાં ચોરીનો પ્રયાસ:સ્થાનિકોએ પીછો કરીને બે તસ્કરોને રિક્ષા સાથે ઝડપી પાડ્યા, ફેક્ટરીમાંથી વિચિત્ર અવાજ આવતા શંકા ગઈ હતી

વડનગર તાલુકાના સુંઢીયા ગામે હાજીપુર રોડ ચોકડી પર આવેલી એક સબમર્સીબલ પંપની ફેક્ટરીમાં મોડી રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરતા બે તસ્કરોને જાગૃત નાગરિકોએ પીછો કરીને ઝડપી પાડ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિકે વડનગર પોલીસ મથકે બે શખસો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાતના એક વ્યક્તિએ ફેક્ટરીમાંથી વિચિત્ર અવાજ આવતો હોવાની જાણ કરીસુંઢીયાના રહેવાસી પ્રકાશભાઇ મણીલાલ પટેલ પોતાની ખેતરમાં સબમર્સીબલ પંપની ફેક્ટરી ચલાવે છે. ગત તારીખ 1 માર્ચ, 2026ના રોજ મોડી રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં ગામના જ દિલીપજી ઠાકોરે ફોન કરીને જાણ કરી હતી કે, ફેક્ટરીમાંથી અજીબ અવાજો આવી રહ્યા છે. આ સાંભળી પ્રકાશભાઇ તાત્કાલિક ફેક્ટરીએ દોડી ગયા હતા. પ્રકાશભાઇ અને દિલીપજીએ હિંમત બતાવી તેમનો પીછો કર્યો હતોબંને જણાએ ફેક્ટરીના પાછળના ભાગે જઈને તપાસ કરતા બે અજાણ્યા શખસો દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. માલિક અને ગ્રામજનને જોઈ જતા બંને તસ્કરો ત્યાં પડેલી રીક્ષા નંબર GJ-24-W-9801 લઈને ભાગવા લાગ્યા હતા. જોકે, પ્રકાશભાઇ અને દિલીપજીએ હિંમત બતાવી તેમનો પીછો કર્યો હતો અને થોડે દૂર તેમને રીક્ષા સાથે આંતરીને પકડી પાડ્યા હતા. વડનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી પોલીસ તપાસ આગળ હાથ ધરીઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા એકનું નામ અલ્કેશ ઉર્ફે ગોપાળ ધરમસીભાઈ દંતાણી (રહે. મહેસાણા, મૂળ હારીજ) અને બીજાનું નામ કરણભાઈ સરતાનભાઈ વાઘરી (રહે. મહેસાણા, મૂળ વિસનગર) હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા PCR વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને શખસોને કસ્ટડીમાં લીધા હતા. વડનગર પોલીસે આ મામલે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:41 pm

ઓપરેશનમાં નસ કપાઈ જવાનો ગંભીર આક્ષેપ:બરવાળાની મહિલાના મોત મામલે ભાવનગર દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન

અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બરવાળાની એક મહિલાનું શંકાસ્પદ મોત નીપજતા સમગ્ર દેવીપૂજક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે ભાવનગર જિલ્લા વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે, ​ભાવનગર જિલ્લા વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ સુરેશએ જણાવ્યું હતું કે, બરવાળા તાલુકાના વતની એક મહિલા દર્દીને વધુ સારી સારવારની આશાએ અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ગત 16 તારીખે એડમિટ થયા બાદ 17 તારીખે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન ડોક્ટરોની બેદરકારીથી લોહીની નસ કપાઈ ગઈ હતી, નસ કપાઈ ગઈ હોવાની જાણ પરિવારને કરવામાં આવી નહોતી, ઉલટાનું, 12 થી 15 બોટલ લોહી મંગાવીને ચડાવવામાં આવ્યું હતું, છતાં મહિલાને બચાવી શકાયા નહીં. ડોક્ટરોની ભૂલને કારણે જ મહિલાનું મૃત્યુ થયું છે, ​આ ઘટનાને 10 થી 12 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી, મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે, પરંતુ 10 દિવસ પછી પણ રિપોર્ટ આપવામાં આવ્યો નથી, હાલ ભાવનગર હોસ્પિટલ ખાતે સમાજના લોકો ન્યાય માટે આંદોલન પર બેઠા છે, સુરેશએ દુઃખ સાથે જણાવ્યું કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ આટલા દિવસો સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર ન થાય તે અત્યંત દુઃખદ અને તંત્રની નિષ્ફળતા છે, ​આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા સમાજના અગ્રણીઓએ નીચે મુજબની માંગણીઓમાં બેદરકારી દાખવનાર જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ તંત્ર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, પીડિત પરિવાર અત્યંત ગરીબ હોવાથી સરકાર તરફથી યોગ્ય વળતર મળે, પીએમ રિપોર્ટ તાત્કાલિક જાહેર કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:40 pm

ગાંધીનગરમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન:35 ફૂટ ઊંચી હોળીની 100 ફૂટ ઊંચે જ્વાળાઓ, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે; પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા આજેપણ અકબંધ

રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. મહાકાળી માતાના પૂજન સાથે પ્રગટાવામાં આવનાર 35 ફૂટ જેટલી ઊંચી હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પાલજમાં 35 ફૂટ ઊંચી ભવ્ય હોલિકા દહનગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. પાલજમાં 30 X 35 ની સાઈઝની ભવ્ય હોળી તૈયાર કરવામાં આવી છે, જેની જ્વાળાઓ 100 ફૂટ ઊંચે સુધી જતી હોવાથી એક અલૌકિક નજારો જોવા મળશે. વર્ષો જૂની માન્યતા મુજબ હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓ જે દિશામાં જાય છે, તેના પરથી આગામી વર્ષ કેવું જશે તેની ભવિષ્યવાણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. ગ્રામજનો ધગધગતા અંગારા પર ચાલે છેપાલજની હોળીની સૌથી મોટી વિશેષતા અંગારા પર ચાલવાની પરંપરા છે. હોળી પ્રાગટ્ય બાદ સૌ પ્રથમ મહાકાળી મંદિરના પૂજારી અને ત્યારબાદ ગ્રામજનો ‘જય મહાકાળી’ના નાદ સાથે ધગધગતા અંગારા પર ચાલે છે. શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા છે કે આ અંગારા પર ચાલવા છતાં આજદિન સુધી કોઈને ઈજા થઈ નથી કે કોઈના પગમાં ફોલ્લા પણ પડ્યા નથી. એટલું જ નહીં હોળીનો તાપ લેવાથી વર્ષ દરમિયાન સામાન્ય તાવ જેવી બીમારી પણ આવતી નથી તેવી લોકવાયકા છે. હોળીના દિવસે ઘરે-ઘરે લાડુ બનાવી પર્વની ઉજવણીઆ હોળીના પ્રાગટ્ય માટે ગામના 80 જેટલા યુવાનો 10થી 15 દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ વર્ષે પણ આશરે 200થી 300 ટન લાકડાં એકઠા કરીને 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવામાં આવી છે. ગ્રામજનો હોળીમાં હોમવા માટે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર વિશેષ રીતે બનાવીને લાવ્યા છે. અંદાજે હજારથી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં આજે હોળીના દિવસે ઘરે-ઘરે લાડુ બનાવીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રગ્રહણને કારણે હોળીના મુહૂર્તમાં ફેરફારજોકે, આ વર્ષે ચંદ્રગ્રહણની અસર હોવાના કારણે હોળીના મુહૂર્તમાં ફેરફાર થયો છે. સામાન્ય રીતે હોળીનું ફાગણ સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થતું હોય છે, પરંતુ આ વખતે આજે સોમવાર 2 માર્ચના રોજ સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવી હતી. આવતીકાલે મંગળવારે ધૂળેટીના બદલે ધોકો પાળવામાં આવશે અને બુધવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:39 pm

સુરતના CASO કુમાર અભિષેક રાષ્ટ્રીય સ્તરે સન્માનિત:દિલ્હીમાં આયોજિત કનેક્શન્સ 2026 કાર્યક્રમમાં જનસેવા માટે IIMCAA એવોર્ડથી નવાજવામાં આવ્યા

સુરત એરપોર્ટ પર સુરક્ષાની કમાન સંભાળતા CISF યુનિટના કમાન્ડન્ટ અને મુખ્ય એરપોર્ટ સુરક્ષા અધિકારી (CASO) કુમાર અભિષેકના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. તાજેતરમાં તેમને પ્રતિષ્ઠિત ‘IIMCAA એવોર્ડ-2026 ફોર પબ્લિક સર્વિસ’ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભવ્ય સન્માન સમારોહ નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત પીએસઓઆઇ ક્લબ ખાતે 28 ફેબ્રુઆરી, 2026ના રોજ 14મા વાર્ષિક પૂર્વવિદ્યાર્થી મિલન “કનેક્શન્સ 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IIMCAA એવોર્ડ્સના 10મા સંસ્કરણ દરમિયાન કુમાર અભિષેકને જનસેવા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ ગૌરવશાળી પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. નેતૃત્વ અને વ્યાવસાયિક સફળતા કુમાર અભિષેક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) ની એચજે બેચ (2009-10) ના પૂર્વ વિદ્યાર્થી છે. સુરત એરપોર્ટ પર કમાન્ડન્ટ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે માત્ર વ્યાવસાયિક ક્ષમતા જ નહીં, પરંતુ માનવીય અભિગમ સાથે ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું છે. સુરત એરપોર્ટ પર સીમાચિહ્નરૂપ કામગીરી તેમના માર્ગદર્શન હેઠળ CISF યુનિટ દ્વારા એવિએશન સિક્યોરિટીને અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષાની સાથે સાથે મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને સ્થાનિક સમુદાય સાથે સહભાગિતા કેળવવા માટે તેમણે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. તેમની આ કર્તવ્યનિષ્ઠા અને સામાજિક નિષ્ઠાને આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:38 pm

સુરત પાસપોર્ટ ઓફિસને ત્રણ દિવસ બાદ ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી:ધમકીભર્યો મેઇલથી કચેરી ખાલી કરવાઈ; બોમ્બ-ડોગ સ્ક્વોડનું સર્ચ શરૂ

સુરતની પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા નાચભાગ મચી ગઈ છે. ત્રણ દિવસ પહેલાં એટલે કે, 27 ફેબ્રુઆરીને શુક્રવારે પણ આ જ પ્રકારે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જે બાદ આજે (2 ફેબ્રુઆરી) ફરી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ આ અજાણ્યા મેઇલ મોકલનાર શખસને શોધી કાઢવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે. ત્રણ દિવસમાં બીજીવાર ધમકી27 ફેબ્રુઆરીના સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ મેઇલ બાદ સાવધાનીને પગલે રાજ્યની તમામ પાસપોર્ટ ઓફિસો અને પોસ્ટ ઓફિસને એલર્ટ કરાઈ હતી. સાથે જ કચેરીઓ ખાલી કરાવી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીઘો હતો. (સંપૂણ લાઈવ અપડેટ માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:33 pm

સાળંગપુરમાં સખી મંડળની બહેનોની હસ્તકલા:મિશન લાઈફ મેળામાં ભાગ લઈ આર્થિક રીતે પગભર બન્યા

બોટાદના સાળંગપુર મંદિર ખાતે તાજેતરમાં યોજાયેલા મિશન લાઈફ અંતર્ગત સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળામાં સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. આ મેળામાં વાસુ ગ્રુપના રેખાબેન ભડાણીયાએ પોતાની હસ્તકલાનું પ્રદર્શન કર્યું હતું. તેઓ છેલ્લા દસ વર્ષથી સિલ્કની દોરી અને અન્ય કાપડનો ઉપયોગ કરીને હિંચકા, મોબાઈલ સ્ટેન્ડ, તોરણ, રૂમાલ, શો પીસ અને ગાદી જેવી વિવિધ વસ્તુઓ જાતે બનાવે છે. રેખાબેન આ તમામ ચીજવસ્તુઓ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશમાં તેનું વેચાણ પણ કરે છે. આ રીતે તેઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે અને પરિવારના ગૃહલક્ષ્મી સમાન ભૂમિકા ભજવે છે. મિશન લાઈફ અંતર્ગત તેમને પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે સ્ટોલ, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિધાઓ બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:32 pm

શહેરમાં આજે 400થી વધુ જગ્યાએ થશે હોલિકા દહન:ભક્ત પ્રહલાદ અને હોલિકાની પ્રતિમા સાથેની ફરતી હોળી આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીનાં પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજરોજ રાજકોટ શહેરમાં 400થી વધુ મળી સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 5000થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર-ઠેર હોલિકા દહનને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો ક્યાંક રંગોળી સાથે તો ક્યાંક ફરતી હોળી તો ક્યાંક 1 લાખ છાણાં સાથે વૈદિક મંત્રોચાર સાથે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પૂનમના દિવસે સાંજે 8 વાગ્યા બાદ હોળી પ્રગટાવવામાં આવશે. રાજકોટમાં ઠેર-ઠેર પરંપરાગત રીતે હોળીની રચનાહોળી માત્ર રંગોનો તહેવાર નહીં, પરંતુ તે બુરાઈ પર અચ્છાઈની જીતનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પરંપરાતગ રીતે હોલિકા દહન કરવામાં આવે છે, જેમાં લાકડાની સાથે સાથે છાણા પણ સળગાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પરંપરાગત રીતે છાણાની સુંદર હોળીની રચના કરવામાં આવી છે, જેમાં આસ્થા અને ઉત્સાહ સાથે ભક્તો દર્શન અને હોળી પ્રગટાવવાની વિધિમાં ભાગ લેવા માટે આતુર જોવા મળી રહ્યા છે. 400થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજનહિન્દુ શાસ્ત્રોમાં હોળી અને ધૂળેટી પર્વનું અનેરું મહત્વ સમાયેલું છે. આ પર્વને ઉજવવા માટે રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. આજે આખા શહેરમાં શેરી મહોલ્લા અને મંદિરોમાં મળી લગભગ 400થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગ્રહણના સંયોગ વચ્ચે આજરોજ હોળી પ્રાગટ્ય પછી એક દિવસના વિરામ બાદ બુધવારે ધુળેટીની રંગારંગ ઉજવણી થશે. નિર્દયી રાજા હિરણ્યકશીપુ અને ભગવાની ભક્તિ, શ્રદ્ધાને વરેલા ભક્ત પ્રહ્લાદની જીવનગાથા સાથે સંકળાયેલા હોળી પર્વ વેળાએ રાજકોટમાં અનેક સ્થળે હોળી પ્રાગટ્યના આયોજનો કરવામાં આવ્યા છે. દરમિયાન સંધ્યાકાળે લાખો શહેરીજનો હોળી પર્વના ભાગરૂપે વાસ્તવિક જીવનમાં નકારાત્મક ઊર્જાને તિલાંજલી આપી, હોળીની જ્વાળામાં ભસ્મ કરી સકારાત્મક ઊર્જા મેળવવાનો અવસર મનાવશે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:28 pm

નવસારીમાં 'રંગમેનિયા' ધુળેટી સેલિબ્રેશન; નફો જલારામ મંદિરમાં દાન:બી.આર. ફાર્મમાં મેટ્રો સિટી જેવી ઉજવણી, યુવાનો માટે ખાસ આયોજન

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં હોળી-ધુળેટી પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના બી.આર. ફાર્મ ખાતે સતત ચોથા વર્ષે 'રંગમેનિયા' ધુળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ મેટ્રો સિટીની તર્જ પર ઉજવાશે અને તેમાંથી થતો નફો વિજલપોરના જલારામ મંદિરમાં દાન કરાશે. છેલ્લા ત્રણ વર્ષથી બી.આર. ફાર્મમાં પ્રોફેશનલ રીતે ધુળેટીની ઉજવણી થાય છે. આ વર્ષે પણ 'રંગમેનિયા' શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને Gen Z યુવાનો માટે હાઈ-વોલ્ટેજ ડીજે સિસ્ટમ અને રેઈન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેમને મેટ્રો સિટી જેવો અનુભવ મળી શકે. આ આયોજનની મુખ્ય વિશેષતા તેનો સામાજિક સેવાનો અભિગમ છે. આયોજકોએ જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન પાણી અને રંગના વેચાણમાંથી જે પણ નફો થશે, તે વિજલપોર સ્થિત પ્રસિદ્ધ જલારામ મંદિરમાં દાન કરવામાં આવશે. આમ, રંગોના ઉત્સવ સાથે ભક્તિ અને સેવાનો સમન્વય જોવા મળશે. નવસારીમાં અન્ય નાના આયોજનો થતા હોય છે, પરંતુ બી.આર. ફાર્મનું આયોજન તેની ભવ્યતાને કારણે અલગ તરી આવે છે. આ કાર્યક્રમ માટે ટિકિટ અને ગ્રુપ પાસનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટા ગ્રુપમાં આવતા યુવાનો માટે સ્પેશિયલ પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:27 pm

સાબરકાંઠામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ:પ્રથમ દિવસે 1221 દીકરીઓને રસી અપાઈ, જિલ્લામાં કુલ 14155 દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક

સાબરકાંઠા જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 50 આરોગ્ય કેન્દ્રો અને 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો પર સવારે 9 થી બપોરે 2 વાગ્યા દરમિયાન 1221 દીકરીઓને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 14,155 દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક છે. આ રસીકરણ કાર્યક્રમનો શુભારંભ હિંમતનગર તાલુકાના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “બેટી બચાવો બેટી પઢાવો” સૂત્રને સાકાર કરવા માટે યોજાયો હતો. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન CDHO અને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ HPV રસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે CDHO ડૉ. રાજ સુતરીયા, THO રાજેશ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા, જિલ્લા સદસ્ય રમીલાબેન પટેલ, સુરેશ પટેલ સહિત ગામના આગેવાનો, વાલીઓ અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:24 pm

સાબરમતીના કિનારે સર્જાશે આધ્યાત્મિક સંગમ:50,000 ભાવિકોની હાજરીમાં SMVS સંસ્થા દ્વારા ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન

અમદાવાદની પવિત્ર સાબરમતી નદીનો કિનારો આગામી 4 માર્ચ 2026ના રોજ એક અવિસ્મરણીય આધ્યાત્મિક ક્ષણનો સાક્ષી બનશે. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. બુધવારે સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં ભક્તિ અને કલાનો અદભૂત સમન્વય જોવા મળશે. “સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી” થીમ આ વર્ષની ઉજવણી “સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી” થીમ પર આધારિત છે. આ થીમ દ્વારા ગુરુદેવ બાપજીના દિવ્ય જીવન, તેમના આદર્શો અને સમાજ ઘડતરમાં તેમના પ્રદાનને કલાત્મક પ્રસ્તુતિઓ અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા જીવંત કરવામાં આવશે. ઉપસ્થિત ભાવિકોને ગુરુદેવના સંસ્કારમય કાર્યોની ઝાંખી કરાવતો એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણવા મળશે. વિશ્વવ્યાપી સેવાનું વટવૃક્ષ: SMVS સંસ્થા અમદાવાદના વાસણા વિસ્તારમાંથી એક નાના બીજ રૂપે શરૂ થયેલી SMVS સ્વામિનારાયણ સંસ્થા આજે વટવૃક્ષ બની ચૂકી છે. હાલમાં આ સંસ્થા વિશ્વના 10થી વધુ દેશોમાં 150થી વધુ મંદિરો અને સત્સંગ કેન્દ્રો દ્વારા કાર્યરત છે. સંસ્થાના 100થી વધુ સંતો અને 15,000થી વધુ સમર્પિત કાર્યકરો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં રાત-દિવસ કાર્યરત છે. ભવ્ય આયોજન અને મહાનુભાવોની ઉપસ્થિતિ આ મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી આશરે 50,000થી વધુ હરિભક્તો ઉમટી પડવાની શક્યતા છે. કાર્યક્રમના ગૌરવમાં વધારો કરવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા શહેરના અન્ય અગ્રગણ્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળ પર વિશાળ સ્ટેજ, હજારો લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ માટેની કામગીરી પૂર્ણતાના આરે છે. સ્થળ સાથે જોડાયેલી ખાસ સ્મૃતિઓ નોંધનીય છે કે વર્ષ 1933માં જન્મેલા ગુરુદેવ પ.પૂ. બાપજી વર્ષ 2019માં અંતર્ધ્યાન થયા હતા. તે સમયે પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જ તેમને વિશાળ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. હવે ફરી એ જ પવિત્ર સ્થળે તેમનો 93મો પ્રાગટ્ય મહોત્સવ યોજાઈ રહ્યો હોવાથી હરિભક્તોમાં ભારે ઉત્સાહ અને ભાવુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આ ભવ્ય ભક્તિ મહોત્સવમાં સહભાગી થવા સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:20 pm

રાજકોટ ભાજપના 2 નેતાને નોટિસ:ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગમ કલબને સોંપવાના વિવાદમાં સ્ટે.કમિટીના પૂર્વ ચેરમેન ઉપાધ્યાય - પટેલને જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના 2012 થી અત્યાર સુધી સરગમ ક્લબને સોંપી દેવા મામલે જાગૃત નાગરિક દ્વારા રાજકોટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે કોર્ટે બંને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવા ભાજપના નેતા ડૉ.જૈમન ઉપાધ્યાય અને પુષ્કર પટેલને પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યુ છે. જે અંગેની હકીકત જણાવતા જાગૃત નાગરિક આનંદ વ્યાસે જણાવ્યુ હતુ કે, વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમની ટેન્ડર પ્રક્રીયા કર્યા વિના અને કોઈપણ પ્રકારના ચાર્જ વીના સરગમ કલબને સોંપી દેવામાં આવ્યુ છે. જે ઠરાવ પ્રક્રીયા વર્ષ-2012 માં કરવામાં આવી હતી. આ ઇન્ડોર સ્ટેડિયમને 5 વર્ષ માટે સરગમ ક્લબનો નિર્ણય કરાયો હતો જ્યારે અન્ય રમત-ગમતના ગ્રાઉન્ડોને 2 વર્ષ માટે વાર્ષીક મોટી રકમ વસુલીને આકરી શરતોને આધીન સોંપણી કરવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે, એથ્લેટીક ગ્રાઉન્ડની પાછળ આવેલ લોન ટેનીસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડીયમની સામે આવેલ લોન ટેનીસ કોર્ટ, ઈન્ડોર સ્ટેડીયમની પાસે આવેલ સ્કેટિંગ રીંગ, માધવરાય ક્રીકેટ સ્ટેડીયમાં આવેલ 4 ક્રીકેટ પીચ, એથ્લેટીક ગ્રાઉન્ડની પાસે આવેલ ફુટબોલ ગ્રાઉન્ડ, રેસકોર્સ મેઈન ફુટબોલ ગ્રાઉન્ડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રમત-ગમતો, સ્વીમીંગ પુલ, એથ્લેટીક ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ કોર્ટ, જીમ, યોગ સેન્ટર, તથા હેન્ડ બોલનું સંચાલન રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. જયારે સરગમ કલબને કોર્પોરેશન દ્વારા વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમનું સંચાલન કોઈપણ જાતના ચાર્જ વિના 5 વર્ષ માટે સોંપવામાં આવે છે. જેને વર્ષ 2012 થી 2017 સુધી દર વર્ષે વાર્ષિક ગ્રાન્ટ પેટે રૂ.4.80 લાખ ફાળવવામાં આવેલા છે. જે કોર્પોરેશન દ્વારા મેઈન્ટેનન્સ પેટે આપવામાં આવ્યા અને ત્યારબાદ 5 વર્ષ માટે વર્ષ 2017 થી 2022 સુધી તેમજ વર્ષ 2022 થી 2027 સુધી ટેન્ડર વગર માત્ર ઠરાવ પ્રક્રીયાથી સરગમ કલબને સંચાલન સોંપવામાં આવેલ છે. જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTI માં સામે આવ્યુ હતુ કે, ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન ગેરકાયદેસર રીતે ટેન્ડર વિના માત્ર ઠરાવથી આપવામાં આવ્યુ. જેથી તેમણે આ ગેરકાયદેસર પ્રક્રિયા દ્વારા ગેરકાયદેસર ઠરાવને રદ કરવા કોર્ટમાં દાવો દાખલ કર્યો. જેથી વર્ષ 2012 માં ઠરાવ કરનાર સ્ટેન્ડીંગ કમીટીના તત્કાલીન ચેરમેન ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા વર્ષ 2017 અને 2022 મા ઠરાવ કરનાર તત્કાલીન સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા કમીટીના સભ્યોને પક્ષકાર તરીકે પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકાવામાં આવી છે. જેમાં એડવોકેટ તરીકે એ. એસ. હિંગોરજા રોકાયેલ છે. જ્યારે આ બાબતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, મને કોર્ટની લીગલ નોટિસ મળી નથી પરંતુ જૈમનભાઈનો મને ફોન આવ્યો હતો કે ઇન્ડોર સ્ટેડિયમ સંચાલન બાબતે પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. જોકે મારી જાણ મુજબ ટેન્ડર પ્રક્રિયા કે ચાર્જ વિના કઈ થયું ન હોય. મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત આવી હોય અને ત્યારબાદ જ ગ્રાઉન્ડનું સંચાલન સોંપાયું હોય. જેથી અમે અમારો જવાબ રજૂ કરી આપશું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:14 pm

મામાના ઘેર હોળી ઊજવવા ગયેલો વડોદરાનો યુવક કેનાલમાં ડૂબ્યો:19 વર્ષીય માસૂમ 24 કલાકથી ગુમ, ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે કપડા-ચપ્પલ અને મોબાઈલ જ મળ્યા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાડા ખાતે હોળીની ઉજવણી માટે મામાના ઘરે ગયેલો 19 વર્ષીય યુવક હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા 24 કલાકથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાસ્થળે ફક્ત યુવકના કપડા, મોબાઈલ અને ચપ્પલ મળતા હાલ યુવક કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ગઈકાલથી ફાયરબ્રિગેડની ટીમ યુવકની શોધખોળમાં લાગેલી છે અને આજે વડોદરા મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ત્રણ ટીમો (જાળ, બોટ અને કિનારાની તપાસ) સાથે વ્યાપક સર્ચ ઓપરેશન ચાલુ છે. હોળી ઊજવવા માટે ભાણિયો મામાના ઘરે આવ્યો હતોમળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ પર વાલ્મિકીનગરમાં રહેતા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા (ઉંમર વર્ષ 19) વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોટા કરાડા ખાતે રહેતા તેમના મામાના ઘરે થોડા દિવસ રહેવા માટે ગયો હતો. હોળી પર્વ નજીક હોવાથી મામાના ઘરે હોળી કરવા માટે યુવક ગયો હતો. ભાણો આવ્યો હોવાથી મામાનો પરિવાર પણ ખુશ હતો. મિત્રો સાથે કેનાલ પર ન્હાવા માટે આવ્યો ને ગુમ થયોઆ દરમિયાન ગઈકાલે 1 માર્ચના રોજ હર્ષિલ વસાવા તેના મિત્રો સાથે સેગવા ગામ નજીક આવેલી કેનાલ પર ન્હાવા માટે ગયો હતો પરંતુ, ઘરે પરત ન આવતા પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ સમયે કેનાલ નજીકથી તેના કપડા ચંપલ મોબાઇલ મળી આવ્યા હતા. હર્ષિલ વસાવા કેનાલના પાણીમાં પ્રવાહમાં ડૂબીને તણાઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે યુવકની સાથે કોણ ન્હાવા માટે ગયુ હતું, તે હજી બહાર આવ્યું નથી. કદાચ યુવકને ડૂબતો જોઈને તેના મિત્રો ગભરાઈને ક્યાંક ભાગી ગયા હોય એવી શક્યતા છે. ફાયરબ્રિગેડના જવાનોએ ગઈકાલથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યુંકરજણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગઈકાલે કેનાલના પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ, કોઈ પત્તો નહીં લાગતા આજે વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી વડોદરાની મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ કેનાલ પર પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા 19 વર્ષના યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા છે. અમે ત્રણ ટીમો બનાવીને યુવકની શોધખોળ શરૂ કરી છેવડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનના સર સૈનિક વિપુલભાઈ સાધુએ જણાવ્યું હતું કે, અમે ત્રણ ટીમો બનાવીને યુવકની શોધખોળ શરૂ કરી છે. એક ટીમ કેનાલમાં જાળ નાખે છે, એક બોટથી શોધખોળ કરી રહી છે અને એક ટીમ કિનારે ચાલીને ઝાડી-ઝાંખરામાં તપાસ કરી રહી છે. ગઈકાલે બપોરે 2:00થી 2:30 વાગ્યાની આસપાસની ઘટના છે. ગઈકાલે કરજણની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આજે અમને યુવકની શોધખોળ માટે બોલાવ્યા છે. અમે યુવકને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:13 pm

ધરમપુરમાં હોળી હાટ બજાર ભરાયું, માનવ મહેરામણ ઉમટ્યું:આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું, પરંપરાગત ઉજવણીનો માહોલ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં હોળી પર્વ નિમિત્તે પરંપરાગત ‘હોળી હાટ’ બજાર ભરાયું હતું. હોળીના ગણતરીના દિવસો બાકી હોવાથી આજે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નગરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. આસપાસના 100થી વધુ ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં હાજર રહ્યા હતા. હાટ બજારમાં પાવરી, તુર અને ઢોલના તાલે યુવાનો નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ચહેરા પર ભભૂતિ લગાવી અને દેવી-દેવતાઓના મહોરા પહેરી 'ફગવા' માંગતા ઘેરૈયાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાનાથી લઈને વડીલો સુધી સૌએ આ પરંપરાગત ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બજારમાં હોળી પર્વ સંબંધિત ખજૂર, ધાણી, મમરા, નાળિયેર અને ગોળના હારડાની હાટડીઓ ગોઠવાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા લોકોએ હોળી પૂજા અને ઘરગથ્થુ ઉપયોગ માટે જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. ખેત ઉત્પાદનોના વેચાણ સાથે એક જ દિવસમાં લાખો રૂપિયાનો વેપાર થયો હોવાનો અંદાજ છે. હોળી આદિવાસી સમાજ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. રોજગાર માટે મુંબઈ, સુરત અને અન્ય શહેરોમાં ગયેલા પરિવારો હોળીની ઉજવણી કરવા વતન પરત ફર્યા હતા. આ કારણે એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. ધરમપુરની રાજવાડી નગરીમાં આવેલા દરબાર ગઢ અને લક્ષ્મીનારાયણ મંદિર નજીક આ હાટ ભરાય છે. અહીં શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે. સ્થાનિકોના મતે, હોળીના આઠ દિવસ પહેલાંથી જ હાટ ભરાવાની શરૂઆત થઈ જાય છે. આ બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી, પરંતુ સામાજિક મિલન અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક પણ છે. ધરમપુર હોળીના પર્વને આવકારવા માટે સજ્જ છે. આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું આ ‘હોળી હાટ’ સમગ્ર પંથક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:11 pm

અમદાવાદ એરપોર્ટ પરથી આજે 19 ફ્લાઈટ કેન્સલ:ઈરાન-ઇઝરાઇલ યુદ્ધને કારણે અનેક દેશના એર સ્પેસ બંધ, જાણો તમારી ફલાઈટ તો રદ નથી ને

ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દેતા તેની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કુલ 19 ફ્લાઈટ આજે કેન્સલ થઈ છે. જેમાંથી 13 અરાઇવલ અને 6 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ થઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 5:04 pm

હિંમતનગર નજીકથી ટ્રકમાંથી રૂ. 77 લાખનો દારૂ ઝડપાયો:ચાલકની ધરપકડ, બે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના કાંકરોલ નજીકથી એક ટ્રકમાંથી રૂ. 77.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી 13,584 બોટલ દારૂ અને બિયરની 669 પેટીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 92.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર-ગાંભોઈ રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCB PI ડી.સી. સાકરીયાને બાતમી મળી હતી કે, DD 01 J 9331 નંબરની એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજસ્થાન-શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહી છે. આ ટ્રક પર તાડપત્રી ઢાંકેલી હતી. આ બાતમીના આધારે, શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાંકણોલ ગામની સીમમાં ક્રિષ્ણા સ્વીટ માર્ટ ફરસાણ ફેક્ટરી પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી હતી. ટ્રકના ચાલકની પૂછપરછ બાદ તાડપત્રી હટાવી તપાસ કરતા, ઉપરના ભાગે પ્લાસ્ટિકના કટ્ટા ગોઠવેલા હતા અને તેની નીચે વિદેશી દારૂની 669 પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક દેવેન્દ્ર દાનારામ ગોમારામ જાટ (ઉં.વ. 25, રહે. ભીનમાલ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, દારૂ ભરી આપનાર વાનસીંગ ચારણ (રહે. હનુમાનગઢ, રાજસ્થાન) અને ખોટી બિલટી આપનાર દેવેન્દ્ર બિશ્નોઈ (રહે. સાચોર) સહિત બે ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:57 pm

દિવાન બલ્લુભાઈ એલ્યુમ્ની એસોસિએશન દ્વારા સ્નેહ મિલન:'ફ્યુઝન ફિએસ્ટા 2026'ના સહભાગી પૂર્વ વિદ્યાર્થીઓ મળ્યા

દિવાન બલ્લુભાઈ એલ્યુમ્ની એસોસિએશન કાંકરિયા દ્વારા તાજેતરમાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલન 'ફ્યુઝન ફિએસ્ટા 2026'માં ભાગ લેનાર પૂર્વ વિદ્યાર્થીઓ માટે યોજાયું હતું, જે સાંસ્કૃતિક કાર્યક્રમ 8 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં 'ફિયેસ્ટા'માં ભાગ લેનાર પૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અંતાક્ષરી, ફિલ્મી ક્વિઝ, ધૂન રાઉન્ડ અને વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌએ આનંદ માણ્યો હતો. ઉપસ્થિત સૌએ 'ફિયેસ્ટા' અને તેની તૈયારીના દિવસોની યાદો તાજી કરી હતી. આ ઉપરાંત, વિવિધ પરફોર્મન્સ તૈયાર કરાવનારા મેન્ટર્સ અને કાર્યક્રમના આયોજકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા 55 વર્ષથી પણ વધુ સમયગાળામાં દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયામાં અભ્યાસ કરી ગયેલા પૂર્વ વિદ્યાર્થીઓ, કોઈ ચોક્કસ બેચ પૂરતા સીમિત ન રહેતા, સાથે મળીને આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:52 pm

વી.એન.એસ.જી.યુ. બુક ફેરમાં પત્રકારત્વ વિભાગ બીજા ક્રમે:ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સિદ્ધિ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત 'સ્વામી વિવેકાનંદ બુક ફેર–2026' માં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓએ ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને યુનિવર્સિટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VNSGU પરિસરમાં 22 ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026 સુધી સાત દિવસીય 'સ્વામી વિવેકાનંદ બુક ફેર–2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુક ફેરને પુસ્તક પ્રદર્શન ઉપરાંત વિવિધ શૈક્ષણિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થીઓ અને વાચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. પુસ્તક પ્રદર્શન સાથે, આ બુક ફેરમાં કોલેજોના વિદ્યાર્થીઓ માટે કવિતા લેખન, કન્ટેન્ટ રાઇટિંગ, ગ્રુપ ડિસ્કશન અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં કુલ આઠ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના બી.એ. જર્નાલિઝમ સેમેસ્ટર–2 ના છ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગ્રુપ ડિસ્કશન બે રાઉન્ડમાં યોજાયું હતું, જેમાં સોશિયલ મીડિયા અને એજ્યુકેશન સિસ્ટમ જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડા, કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી તેમજ વિભાગના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે આ બુક ફેર દ્વારા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળવા ઉપરાંત વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક ચર્ચા અને સ્પર્ધાત્મક ભાવનાનો પણ વિકાસ થયો છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:50 pm

સાબરકાંઠા LCBએ બે સ્થળેથી દારૂ ઝડપ્યો:1100 બોટલ દારૂ-બિયર સાથે બે ઝડપાયા, ₹6.75 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા LCBએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બે અલગ-અલગ દરોડામાં કુલ 1100 બોટલ દારૂ અને બિયર સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કુલ ₹6.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ઘટનામાં, સાબરકાંઠા એલસીબીને રાજસ્થાન તરફથી આવી રહેલી બોલેરો ગાડી (નં. GJ-09-BN-0571) અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે હિંમતનગર-વિજાપુર હાઈવે પરના દેરોલ ગામની સીમમાંથી પસાર થતી શંકાસ્પદ બોલેરોને LCBના PI ડી.સી.સાકરીયાની સૂચનાથી પીએસઆઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી અને સ્ટાફે રોકી હતી. વાહન ચેકિંગ દરમિયાન બોલેરોમાંથી આનંદ નારાયણભાઈ પંડવાળા (રહે. પાલપાદર, તા. બિંછીવાડા) મળી આવ્યો હતો. બોલેરોની તલાશી લેતા તેમાંથી ₹3,20,544 ની કિંમતની 26 પેટીમાં રાખેલી 1032 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર અને બોલેરો ગાડી સહિત કુલ ₹6,21,044 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પકડાયેલા આનંદ પંડવાળા તેમજ ફરાર ઉદેપુરના ઈશ્વર રાજપુત અને અમદાવાદના કાલીગ્રામ વિસ્તારના અવધેષ ઉર્ફે રાજુ છારા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી ઘટનામાં, ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલોડા રોડ પર એક કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલા કેરાભાઈ કેવદાભાઈ રબારી (રહે. લાલોડા રોડ, ઈડર)ની LCBએ અટકાયત કરી હતી. તેની ઝડતી લેતા તેની પાસેથી ₹43,898 ની કિંમતની 77 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત ₹11,000 ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા, આમ કુલ ₹54,898 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ કેસમાં કેરા રબારી અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરીરામ ઉર્ફે હરીયો (રહે. લાલોડા, ઈડર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ફરાર યુવરાજ ઉર્ફે રાજુ (રહે. વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી સહિત ત્રણ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:49 pm

બોમ્બે મેટલ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો:વિજ્ઞાન દિન, હોળી અને ચશ્મા વિતરણ કરાયા

પાટણ: ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી અને મનોજભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિજ્ઞાન દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના મહેમાનો દ્વારા પ્રથમ નંબર મેળવનાર ટીમને ડિક્શનરી અને થર્મોસ અપાયા હતા. બીજો નંબર મેળવનાર ટીમને પેડ, ડિક્શનરી પાઉચ, બોલપેન, પેન્સિલ, રબર અને સ્કેલની કીટ આપવામાં આવી હતી. જ્યારે તૃતીય નંબર આવનારને પેડ, ડિક્શનરી અને પાઉચ અપાયા હતા. બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પાઉચ, બોલપેન, પેન્સિલ, રબર અને સ્કેલની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આંખોના નંબર ધરાવતા 40 બાળકોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હોળીના તહેવારની ઉજવણીના ભાગરૂપે, ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના દરેક બાળકોને તિલક હોળી કરાવીને રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેમાનો મનોજભાઈ કે. પટેલ અને નટુભાઈ દરજીએ બાળકોને પરીક્ષા લક્ષી અને ભવિષ્યમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળા પરિવારે તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:49 pm

RTOના નામે APK ફાઈલ ખોલી:ચીખલીના શિક્ષકનો ફોન હેક, ક્રેડિટ કાર્ડમાંથી ₹84 હજાર ઉપડી ગયા

ચીખલીના એક શિક્ષક RTO ઈ-ચલણના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. વોટ્સએપ પર આવેલી એક શંકાસ્પદ .APK ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગબાજોએ તેમના બે અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹84,763ની ખરીદી કરી લીધી હતી. આ ઘટના 30 જાન્યુઆરીના રોજ બની હતી. ચીખલીની એજ્યુકેશન સોસાયટી કોમ્પ્યુટર સેન્ટરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નીતીનકુમાર મગનલાલ પટેલના મોબાઈલ પર 'RTO E-CHALAN' લખેલી એક .APK ફાઈલ વોટ્સએપ દ્વારા આવી હતી. તેમણે આ ફાઈલ ખોલતા જ તેમનો વન પ્લસ (1+) મોબાઈલ હેક થઈ ગયો હતો. મોબાઈલ હેક થયાની થોડી જ મિનિટોમાં નીતીનકુમારના HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ₹79,763 કપાયા હોવાનો મેસેજ આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે ઠગબાજોએ ફ્લિપકાર્ટ પરથી આઈફોન-17 ઓર્ડર કર્યો હતો. આ ઉપરાંત, તેમણે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એમેઝોન પરથી વધુ ₹5,000ની ખરીદી પણ કરી હતી. શિક્ષક નીતીનકુમારે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફ્લિપકાર્ટના ઇન્વોઇસની તપાસ કરતા સામે આવ્યું કે આ ઓર્ડર ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર-110માં રહેતા 'સુરજ' નામના વ્યક્તિએ આપ્યો હતો, જ્યારે ડિલિવરી એડ્રેસ નોઈડા સેક્ટર-83નું દર્શાવવામાં આવ્યું છે. ભોગ બનનાર શિક્ષકે આ મામલે પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ચીખલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આપેલા મોબાઈલ નંબર (8220756549) ના આધારે તપાસ તેજ કરી છે. સાયબર નિષ્ણાતો આવા કિસ્સાઓમાં સાવચેતી રાખવાની સલાહ આપે છે: કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલી .APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ ન કરવી. RTO કે અન્ય સરકારી વિભાગો ક્યારેય વોટ્સએપ પર ફાઈલ મોકલીને પેમેન્ટની માંગણી કરતા નથી. જો આવી કોઈ છેતરપિંડી થાય, તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરીને ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:48 pm

સુરતની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 6ઠ્ઠી એલ્યુમની મીટ યોજાઈ:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ સંસ્થાના વિકાસ પર ચર્ચા કરી

સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી એન્જિનિયરિંગ કોલેજમાં રવિવાર, 01 માર્ચ 2026ના રોજ ૬ઠ્ઠી વાર્ષિક એલ્યુમની મીટ યોજાઈ હતી. કોલેજના એલ્યુમની એસોસિયેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નોંધણી અને દીપપ્રાગટ્યથી થઈ હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક જીવનની યાદો તાજી કરી અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વ્યાવસાયિક અનુભવો તથા સફળતાની ગાથાઓ વહેંચી. વિદ્યાર્થીઓએ કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ, સરકારી નોકરી, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું. ફેકલ્ટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના ઇન્ટરએક્ટિવ સત્રમાં સંસ્થાના વિકાસ, ઉદ્યોગ-સંસ્થા સહકાર, ઇન્ટર્નશિપ તકો, ગેસ્ટ લેકચર અને મેન્ટરશિપ કાર્યક્રમો પર ચર્ચા થઈ. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન, તાલીમ અને પ્લેસમેન્ટમાં સહકાર આપવાની ખાતરી આપી. આ પ્રસંગે સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને Lt. Shri Ravikumar Jain memorial Award, Lt. Shri Satishkumar Trivedi, અને Lt. Keyur Patel memorial award હેઠળ ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. એલ્યુમની એસોસિયેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે મેન્ટરશિપ, ટેકનિકલ સેમિનાર, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ અને શિષ્યવૃત્તિ સહાય જેવી નવી પહેલોની જાહેરાત કરવામાં આવી હતી. એલ્યુમની એસોસિયેશનના પ્રમુખ અને કન્વીનર ડૉ. દર્શન જે. મહેતાએ જણાવ્યું કે, આ એલ્યુમની મીટથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન શૈક્ષણિક પરિવાર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. આ સહકારથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તકો મળશે, જે સંસ્થાના સર્વાંગી વિકાસને વેગ આપશે. કાર્યક્રમના સમાપનમાં મહાનુભાવો માટે ભોજન અને અનૌપચારિક સંવાદ સત્રનું આયોજન કરાયું હતું, જ્યાં સૌએ જૂની યાદો તાજી કરી. આ કાર્યક્રમના સફળ આયોજનમાં એલ્યુમની એસોસિયેશનની ટીમ, ફેકલ્ટી સભ્યો અને સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સક્રિય સહકાર આપ્યો હતો. સંસ્થાના વડા એસ. આર. જોશીના માર્ગદર્શન હેઠળ એલ્યુમની એસોસિયેશનની કમિટી સભ્યો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:47 pm

WICASA બરોડા દ્વારા વર્ષ 2026-27 માટે નવી મેનેજિંગ કમિટીની જાહેરાત:ચેરપર્સન જિગર શાહની આગેવાનીમાં 2026-27 માટે ટેકનિકલ વર્કશોપ અને સામાજિક સેવાનો સમન્વય

વેસ્ટર્ન ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશન (WICASA)ની બરોડા શાખા દ્વારા વર્ષ 2026-27ના કાર્યકાળ માટે નવી મેનેજિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના CA વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માર્ગદર્શનના ઉદ્દેશ્ય સાથે એક સુવ્યવસ્થિત ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા આ ટીમની પસંદગી કરાઈ છે, જેમાં ચેરપર્સન તરીકે CA જિગર શાહની નિમણૂક કરવામાં આવી છે. નવી કમિટીનું માળખું આ કમિટીમાં અનુભવી પ્રોફેશનલ્સ અને ઉત્સાહી વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમન્વય જોવા મળે છે. ટીમમાં CA જય શાહ (નોમિનેટેડ મેમ્બર), દેવાંશ ઠાકર (વાઈસ-ચેરપર્સન), વિનિતા સેઠિયા (સેક્રેટરી), ઉર્વી આચાર્ય (જોઈન્ટ સેક્રેટરી અને એડિટોરિયલ હેડ) અને શાશ્વત પાટીલ (ટ્રેઝરર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધાર્મિક પટાડીયા, પૂર્વા પબારી, યશ ઝિંઝુવાડિયા, મહેક બરજાત્યા અને હાર્દ શાહ વિવિધ વિભાગોની જવાબદારી સંભાળશે. વર્ષ 2026-27ના મુખ્ય લક્ષ્યો નવનિયુક્ત સમિતિએ આગામી વર્ષને 'લર્નિંગ અને ગ્રોથ'નું વર્ષ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે ટેકનિકલ વર્કશોપ અને મોક એક્ઝામની સાથે સર્વાંગી વિકાસ માટે યોગા, મેડિટેશન અને રમતગમતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. વિશેષ રૂપે, ચેરિટી અને ડોનેશન ડ્રાઈવ જેવી સામાજિક જવાબદારીઓ પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ વ્યાવસાયિક પડકારો સામે સજ્જ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:47 pm

મોરબીમાં કારના કાચ તોડનાર ત્રિપુટી સામે FIR:15 વાહનોને નિશાન બનાવ્યા, ₹14,000નું નુકસાન

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં શનિવારે રાત્રે અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના શનિવારે રાત્રિ દરમિયાન સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ અને મુનનગર ચોક સહિતના વિસ્તારોમાં બની હતી. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા. રબારી કોલોની સામે સદગુરુ મિલ નજીક રહેતા કાનાભાઈ પાલાભાઈ ડાંગર (ઉં.36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વસંત પ્લોટ વિસ્તારમાં માનસ આર્કેડ કોમ્પ્લેક્સ નજીક તેમની કેરી ગાડી (નંબર GJ 3 BZ 4949) અને સાહેદની કાર (નંબર GJ 36 B 0049) ના કાચ ધોકા મારીને તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનામાં અંદાજે ₹14,000નું નુકસાન થયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. જોકે, કારના કાચ તોડવા પાછળનું કારણ કે વાહનોમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:46 pm

અમદાવાદમાં સર્વધર્મ સમન્વયનો અનોખો 'પાલ' યોજાયો:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન

અમદાવાદમાં શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને શ્રી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ તેરસ, ઢેબરિયા તેરસના દિવસે સર્વધર્મ સમન્વયનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલીતાણાની છ ગાઉ યાત્રાની પ્રતિકૃતિ રૂપે 'પાલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીતાણામાં છ ગાઉ યાત્રા પૂર્ણ કર્યા બાદ સિદ્ધવડ પાસે યાત્રાળુઓ માટે જૈન ધર્મ અનુસાર વિવિધ ખાદ્યપદાર્થોના 'પાલ' રાખવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને, અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં પાલીતાણાના ડુંગરની પ્રતિકૃતિનો એક પટ્ટ લગાવવામાં આવ્યો હતો. આ પટ્ટ સમક્ષ 2000થી વધુ વિવિધ ધર્મના લોકોએ ઉપસ્થિત રહી શુભ દીપ પૂજા કરી હતી. ત્યારબાદ તરબૂચ, શક્કરટેટી, પપૈયું, દ્રાક્ષ જેવા ફળોનો પાલ તેમજ મોહનથાળ, તીખી લાલ સેવ, ટામેટા, કાકડી, સલાડ, કઢી, દાળ, ભાત, રોટલી, રુધિરનું શાક, મગ અને છાશ સહિત સંપૂર્ણ ભોજનનો પાલ રાખવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આશરે 1800 કિલો વજનના ખાદ્યપદાર્થો મંગાવવામાં આવ્યા હતા. વ્યવસ્થા સ્ટાફ અને કાર્યકર્તાઓ દ્વારા કોઈને પણ તકલીફ ન પડે તે રીતે ગોઠવણ કરવામાં આવી હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ બધા હિન્દુઓને એકબીજાની નજીક લાવી, ધાર્મિક સહયોગ વધારવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા 'અમે હિન્દુસ્તાની છીએ, અમે હિન્દુ છીએ' તેવી પવિત્ર ભાવના સ્પષ્ટ કરવામાં આવી હતી, જે રાષ્ટ્ર માટે ધર્મ હિન્દુ રહેશે તેવો સંદેશ આપે છે. આવા આયોજનથી દેશ અને રાષ્ટ્રમાં એકતાની ભાવના મજબૂત બને છે. ટ્રસ્ટી વીરુભાઈ અલગોતરની આ પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:46 pm

કાલોલના 125 ખેડૂતોએ વેજલપુર KVK ખાતે લીધી તાલીમ:પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોની અપાઈ સમજ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાતમણા ક્લસ્ટરના ૧૨૫ ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ' યોજના અંતર્ગત આ જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિન મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જેવા કે જીવામૃત અને બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન (Mulching), મિશ્ર પાક પદ્ધતિ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી ઉપરાંત, ખેડૂતોને આધુનિક ખેતી સાથે જોડવા માટે ફાર્મર રજિસ્ટ્રી, મિલેટ યોજના અને PMDDKY યોજના જેવી ખેડૂતલક્ષી યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓથી પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમમાં ખેડૂતોની ઉપસ્થિતિ અને પરિવહન વ્યવસ્થાનું સફળ આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ખેતી મદદનીશ કિરીટભાઈ પરમાર અને કિરણભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ બાદ ખેડૂતોએ આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વડા ડૉ. કનકલત્તા, પાક સંરક્ષણ નિષ્ણાત ડૉ. શક્તિ ખજૂરિયા, વિસ્તરણ શિક્ષણના નિષ્ણાત ડૉ. જયપાલ જાદવ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિન મહેતા ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:44 pm

રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા:વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા 5000થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો

વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક રવિશંકરજી એ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્યાં હજારો સાધકો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટ્યા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્નેહસભર મુલાકાત કરી, જે આધ્યાત્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાની સંયુક્ત ભાવનાને પ્રતિબિંબિત કરતી હતી. વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં ગુરુદેવે સૈંકડો કોલેજ યુવાનો, ગ્રામજનો તેમજ ૫,૦૦૦થી વધુ ભક્તો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોથી આવેલા આંતરરાષ્ટ્રીય સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ગુરુદેવના ઉપદેશોની વૈશ્વિક અસર દર્શાવે છે. ત્યારબાદ ગુરુદેવ સુરત અને અમદાવાદ પહોંચ્યા, જ્યાં 12000થી વધુ લોકોએ વિશેષ કાર્યક્રમ ‘soaking in bliss’ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમો ગુરુદેવની ઉપસ્થિતિમાં લોકોએ જ્ઞાન, ગહનતા, હળવાશ અને અમૂલ્ય સ્મૃતિઓનો અનુભવ કર્યો. વાસદ માં એક સત્સંગ દરમિયાન ગુરુદેવે ભગવાન શ્રીકૃષ્ણ નું ઉદાહરણ આપી જવાબદારીને હળવાશથી વહન કરવાની વાત સમજાવી: “ભગવાન કૃષ્ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્તક પરનો રંગબેરંગી મોરપીછનો મુકુટ ક્યારેય ભારરૂપ લાગતો નથી. સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં વ્યક્તિ હંમેશાં હસતાં અને હળવાશથી રહી શકે છે. જાણો કે તમારી જવાબદારીઓ તમે એકલા નથી વહન કરતા; કોઈ શક્તિ તમને સહારો આપી રહી છે.” સુરત અને અમદાવાદમાં પણ આનંદ અને ભક્તિના મોજાં ઉછળ્યા. હજારો લોકો હળવાશ, જ્ઞાન, હાસ્ય, સંગીત અને જીવન પરિવર્તનકારી આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરપૂર એક સુંદર સાંજનો આનંદ માણવા એકત્ર થયા. જીવનમાં સંતુલનની મહત્વતા પર પ્રકાશ પાડતાં ગુરુદેવે મધ્યમ માર્ગ અપનાવવા અને ધીમા ગતિએ આગળ વધવાની પ્રેરણા આપી: “જીવન દોડ નથી… જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્યારે વસ્તુઓ સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે.” તેમણે આશ્ચર્યભાવને આધ્યાત્મિક ગુણ તરીકે વર્ણવતાં કહ્યું કે તે મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે. તેમણે વિવિધતાની સુંદરતા પર ભાર મૂકતાં કહ્યું: “વિચાર કરો, કેટલી પ્રકારની શાકભાજી અને ફળો છે, કેટલા પ્રકારના લોકો છે! દરેક વ્યક્તિનો ચહેરો અને નાક અનોખાં છે. ગુજરાતમાં પણ સુરત, અમદાવાદ અને કચ્છના લોકોમાં ભિન્નતા છે. ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ તમારી આનંદ માટે રચ્યું છે, છતાં તમે દુઃખી કેમ રહો છો? જ્યારે તમે જીવનને બાળક જેવી તાજગીથી જુઓ છો, ત્યારે દિવ્યતા તમારા અંદર જીવંત બની જાય છે.”

દિવ્ય ભાસ્કર 2 Mar 2026 4:44 pm