SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ગેરકાયદેસર બાંધકામો મામલે કમિશનર અકળાયા:બાંધકામ તોડવા પોલીસ બંદોબસ્ત ના મળતો હોય તો હું સાથે આવું, એસ્ટેટ અધિકારીઓને નીચું જોવું પડ્યું

શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો મામલે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સહિત એસ્ટેટ વિભાગના અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાનો જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અકળાઈ ઊઠ્યા હતા અને કહ્યું હતું કે, જો પોલીસ બંદોબસ્ત ના મળતો હોય તો હું તમારી સાથે આવું પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડવાના છે. મ્યુનિસિપલ કમિશનરનો જવાબ સાંભળીને એસ્ટેટ વિભાગના અધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો હતો. રીવ્યુ બેઠકમાં સ્ટ્રીટ લાઈટ અંગે ફરિયાદ કરવામાં આવીવિકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગાર્ડન વિભાગનો પણ પ્રશ્ન કર્યો હતો. ગાર્ડન વેસ્ટ કલેક્શન માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે નહીં જેથી તેમાં ગાર્ડન વેસ્ટ કલેક્શન અંગે સાથે ઝોનના દસ દસ લાખ રૂપિયાના ટેન્ડર થઈ ચૂક્યા હોવાનું ગાર્ડન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું. રીવ્યુ બેઠકમાં એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટ્રીટ લાઈટો અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં તળાવ અને ગાર્ડન ડેવલોપમેન્ટ થયા બાદ લાઈટના કામો ન થયા હોવા અંગેની ફરિયાદ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં પ્રશ્ન કર્યો જ્યારે નાઈટ રાઉન્ડ દરમિયાન તેઓ નીકળ્યા. ત્યારે પણ તેમને ચારથી પાંચ પબ્લિક ટોયલેટ ખૂબ જ ખરાબ દેખાયા હતા. તેમાં સફાઈ કરવામાં આવી નહોતી. તેમજ રખડતા ઢોર પણ જોવા મળ્યા હતા. આ બાબતે તેઓએ રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે પ્રશ્ન કર્યો હતો. ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત મળતો નથી. તેના માટે બાંધકામો તોડવામાં આવતા નથી. જેથી કમિશનરે તેઓને સ્પષ્ટ કહ્યું હતું કે, જો પોલીસ બંદોબસ્ત ન મળતો હોય તો હું તમારી સાથે આવું પણ તમારે ગેરકાયદેસર બાંધકામોને તોડવાના જ છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્તની અરજી મોકલાય છેઉલ્લેખનીય છે કે, શહેરભરમાં નાનામોટા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામો બની જાય છે. પરંતુ ત્યારબાદ જેને તોડવાના હોય છે. તેને એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા નોટિસો તો આપી જ દે છે અને નજીકનાં પોલીસ સ્ટેશનમાં બાંધકામ તોડવા માટે બંદોબસ્ત આપવાની અરજી મોકલાવી દેતાં હોય છે. જોકે, ગેરકાયદેસર બાંધકામો તોડવામાં પોલીસ બંદોબસ્ત નહીં આપવા માટે પણ પોલીસ સ્ટેશનમાં મોટા વહીવટો કરી દેવામાં આવે છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત મળતો નથી. સૂત્રો મુજબ ખાસ કરીને મધ્ય ઝોન વિસ્તારમાં આવતા જમાલપુર, કારંજ, શાહપુર, દરિયાપુર, કાલુપુર સહિતના પોલીસ સ્ટેશનમાં મોટી ગોઠવણો ચાલે છે. રજૂઆત પછી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છેસંવેદનશીલ વિસ્તારો હોવાના કારણે ત્યાં એસ્ટેટ વિભાગ પોલીસ બંદોબસ્ત વધારે માંગતું હોય છે. જેના કારણે થઈ આવા પોલીસ બંદોબસ્ત ન આપવામાં પણ મોટી ગોઠવણ થતી હોય છે. સૂત્રો મુજબ ચોક્કસ અને સંવેદનશીલ વિસ્તારોમાં જ ગેરકાયદે બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્તની જરૂર પડતી હોય છે, બાકીનાં વિસ્તારોમાં ગેરકાયદેસર કરવા માટે એસઆરપીનો બંદોબસ્ત તો મળે જ છે. પરતુ એસ્ટેટ ખાતાને બાંધકામો તોડવાં હોતા નથી. એટલે બંદોબસ્તનાં નામે ગોઠવાણો પણ પાડી દેવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારની અંદર સામાન્ય રીતે એક બે વખત રજૂઆત બાદ પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવે છે. પરંતુ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને બંદોબસ્ત આપવામાં આવતો નથી.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:54 am

સ્થાનિકોમાં ફાટી નીકળ્યો રોષ:ભાજપના સાંસદ નરહરિ અમિન દ્વારા બંધ કરાવેલા ડિવાઈડર કટ ખોલવા લોકોની માંગ, ટોળાએ હિલ્લોક હોટલ પાસેનો રોડ કરાવ્યો બંધ

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટલ હિલ્લોક નજીક ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી હતી, ત્યારે આજે (5 ફેબ્રુઆરી)ના રોજ રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળાએ એસપી રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે રસ્તો રોકી દીધો હતો. આના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ રોડ બંધ કરી દેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને લોકોને સમજાવીને ટ્રાફિક પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરી હતી. લોકોને ન્યુ ત્રાગડ અને ચાંદખેડા આવવા માટે ત્રણથી પાંચ કિલોમીટર જેટલું ફરવું પડે છે. જેના કારણે લોકો હેરાન થતા હોવાથી અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા 'દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી' ના નારા લગાવીને રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો રોડ બંધ થવાના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાથી, તેમણે રોડ ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 15 દિવસથી આ ડિવાઈડર બંધ થઈ ગયું હોવાના કારણે દરરોજ લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે અને ખૂબ મોટો ફેરો ખાઈને પોતાના ઘર તરફ જવું પડે છે. આથી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ડિવાઈડર કટ ખોલી દેવામાં આવે, જેથી સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:06 am

યુવક પર ત્રણ શખસો તલવાર-છરા લઈ તૂટી પડ્યા, CCTV:એક મિનિટમાં 34 ઘા મારી અધૂમૂઓ કરી નાખ્યો, અમદાવાદમાં પ્રેમસંબંધમાં જીવલેણ હુમલો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રેમસંબંધમાં એક યુવક પર ત્રણ શખસોએ તલવાર અને છરા વડે હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે. બાપુનગરમાં 31મી તારીખે જ્યારે યુવક પોતાના મોટરસાયકલ બેઠો હતો ત્યારે ધસી આવેલા ત્રણ શખસો તલવાર અને છરા લઈ તૂટી પડ્યા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકનો સાળો આરોપીને પત્નીને ભગાડી જતા હુમલો કરાયોમળતી માહિતી મજુબ બાપુનગરમાં રહેતા યાસીન મુસ્તફાપઠાણ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે. તેનો સાળો મોહમ્મદ ઈસ્લામ એક મહિના પહેલા મોહમ્મદ અંસારની પત્નીને ભગાડી ગયો હતો. જેથી મોહમ્મદ અંસાર દ્વારા યાસીન અને તેના સસરા મુન્નાભાઈને કહ્યું હતું કે, તમે બંનેને શોધી આપો નહીં તો તમારા હાથ પગ ભાંગી નાખીશ.યાસીન અને તેના પરિવારે બંનેને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, મળી આવ્યા નહતા. પરિણીતાના પતિ સહિત ત્રણ શખસો તલવાર અને છરા લઈ તૂટી પડ્યા31મી જાન્યુઆરીએ રાત્રિના સમયે યાસીન અને તેના મિત્રો જ્યારે અમદાવાદના અજીતમીલ ચાર રસ્તા પાસે ધંધાના કામે ઉભા હતા ત્યારે મોહમ્મદ અંસાર, ગડ્ડુ ઉર્ફે સાંગા અને અન્ય એક શખસ તલવાર અને છરા સાથે ધસી આવ્યા હતા. યાસીન અને તેના મિત્રો કંઈ સમજે તે પહેલા જ ત્રણેય લોકો તૂટી પડ્યા હતા. 1 મિનિટમાં તલવાર અને છરાના 34 ઘા માર્યાબનાવના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં મોટરસાયકલ પર યાસીન જ્યારે બેઠો હતો ત્યારે ધસી આવેલા ત્રણેય લોકોએ યાસીનને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ત્રણેય લોકો છરા અને તલવારથી ઘા મારવા લાગ્યા હતા. અન્ય લોકોએ યાસીનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ત્રણેય લોકો રોકાયા ન હતા અને એક મિનિટમાં જ 34 જેટલા ઘા મારી ફરાર થઈ ગયા હતા. યાસીનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયોહુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યાસીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. યાસીને ત્રણેય શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસીપી આર.ડી ઓઝાએ જણાવ્યું હતું કે ફરિયાદીના સાળા સાથે આરોપીની પત્નીને પ્રેમસંબંધ હતો અને બંને ભાગી ગયા હતા. બંને પરત આવ્યા ત્યારે આરોપીની પત્નીએ આરોપી સાથે છૂટાછેડા લઈને ફરિયાદીના સાળા સાથે લગ્ન કરી લીધા હતા.જેની અદાવત રાખીને આરોપી અવારનવાર ફરિયાદીને ધમકાવતો હતો.31 જાન્યુઆરીએ સાંજના સમયે આરોપીએ તેના બે સાથીઓ સાથે મળીને ફરિયાદી ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમાચાર પણ વાંચોઃપતંગની દોરી ખેંચવાની અદાવતમાં યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેડગેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચાર શખ્સો નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

AMCનો 25 કરોડનો ખર્ચ બચ્યો:એસ.જી હાઇવેને ડસ્ટ ફ્રી અને આઇકોનિક બનાવવા યુએન મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે, 30 કિમી તબક્કાવાર કામગીરી થશે

અમદાવાદના એસ.જી હાઈવે રોડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યો છે. એસ જી હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ પર ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશન કરવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. એસજી હાઇવેના આઇકોનિક રોડના ડિઝાઇનથી લઇ તમામ કન્સલ્ટિંગ વગેરે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 20થી 25 કરોડ રૂપિયાની બચત થશે. સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે ડેવલોપ કરાશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશેએસ જી હાઇવે પર આઇકોનિક રોડમાં લેન્ડસ્કેપિંગ, ગજેબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. કન્સલટન્ટ, લેન્ડ સ્કેપ કન્સલ્ટન્ટ, આર્ટ કન્સલ્ટન્ટ, એડવટાઇઝમેન્ટ કન્સલ્ટન્ટ, લાઇટીંગ કન્સલ્ટન્ટ એમ.ઈ.પી. કન્સલટન્ટ, સર્વે એજન્સીઓ વિગેરેની નિમણુંક, પ્લાનીંગ અને ડિઝાઇનીંગ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા નિમણુંક કરવામાં આવનાર તમામ કન્સલ્ટન્ટની સમગ્ર કન્સલ્ટન્સી ફીનું ચુકવણુ સંપુર્ણ રીતે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. ડિઝાઈન એપ્રુવલ, મોડિફિકેશન અને ડિઝાઈનના ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી GUIDCL અને યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા એપોઇન્ટ કરેલ કન્સલટન્ટો સાથે સંકલન કરવામાં આવશે. ચેકિંગ કરાવા થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની નિમણૂંક કરાશેટ્રાફિકને લગતી સમગ્ર કામગીરી જેવી કે ટ્રાફિક સર્વે અને એનાલિસિસ, પેવમેન્ટ ડીઝાઈન, રોડ જીઓમેટ્રીક ડિઝાઈન, પેડેસ્ટ્રીયન ફૂટઓવર બ્રિજની ફિઝિબિલિટી, રોડ સેફ્ટી ઓડિટ તથા બ્લેક સ્પોટ સર્વે, ટ્રાકિક સીગ્નલ અને ટ્રાકિક સાઇનેઝીસ વગેરે ટ્રાકિકને સંલગ્ન કામગીરી કરવા માટે SVNIT સંસ્થાને ગુજરાત અર્બન ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની લિમીડેટ (GUIDCL) કંપની અંતર્ગત રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ટ્રાકિક કન્સલટન્ટ તરીકે નિમણૂંક કરવાની થાય છે. વધુમાં સદરહું રોડ ઉપર જુદા જુદા સ્ટ્રકચર કે જે સ્ટ્રકચરલ કન્સલટન્ટ દ્વારા કરવામાં આવે તેનું થર્ડ પાર્ટી પ્રુફ ચેકિંગ કરાવા માટે થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની પણ નિમણૂંક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

ફાર્મ હાઉસમાં પીવાનું ને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું:હુક્કા-દારુની મોજ માણી પછી સાણંદ પોલીસ સ્ટેશનમાં ખાખીએ ખવડાવ્યું, ડૉક્ટર-બિલ્ડર-વેપારીઓને VIP ટ્રીટમેન્ટ આપી

અમદાવાદમાં સાણંદ પોલીસે 4 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા 'નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ'માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. જો કે હવે આ કેસમાં પોલીસના બે ચહેરા સામે આવ્યા છે. પોલીસની નાક નીચે પાર્ટી યોજાઈ ને પાછું પોલીસ સ્ટેશનમાં તેની સરાભરા પણ કરવામાં આવી. આમ પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. રાત્રે પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડીને પહેલા મેહફીલ બંધ કરાવી તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તમામની ઇજ્જતના કાંકરા કરી નાંખ્યા બાદ મોડી રાતે આરોપીઓ માટે પોલીસે જ નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પીનારાઓ માટે પોલીસ સ્ટેશન પિકનિક સ્પોટ બન્યુંસાણંદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની મહેફિલના આરોપીઓ માટે એક વ્યક્તિ જાણે ચાલતી ફરતી દુકાન હોય તેમ હાથમાં વેફરના પડીકા લઈને આવ્યો હતો. જોકે આ વ્યક્તિ પોલીસના કહેવાથી જ વેફર લઈને આવ્યો હતો.દારૂના નશામાં લોકોને પોલીસે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સરાભરા કરવા વેફર અને ચા પીવડાવી હતી. આ હાઈ પ્રોફાઇલ મહેફિલ હોવાથી પોલીસે આ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું હતું. સબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી: PIઆ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સાણંદ પીઆઇ બી.ટી.ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓ હોય તો તેમને ભૂખ લાગે જ, એટલે એમના સબંધીઓ આવ્યા બાદમાં પોલીસે જ વેફરની વ્યવસ્થા કરી હતી. આ કંઈ ખોટું નથી. જોકે સામાન્ય આરોપીઓને પણ પોલીસ આ પ્રકારે જ નાસ્તો કરાવતી હશે કે કેમ તેને લઈને સવાલ છે કારણ કે સામાન્ય આરોપી તો લોકઅપમાં હોય છે અને તેને અડધી રાતે ભૂખ લાગે તો હાજર સ્ટાફ અડધી રાતે વેફર આપતો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાણંદ આસપાસમાં હાઇપ્રોફાઇલ દારૂ-હુક્કા પાર્ટીઓ વધી રહી છે. વિકેન્ડ વિલા અને રિસોર્ટમાં ચાલતી આ પાર્ટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ, હાઇપ્રોફાઇલ લોકો ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ બધા વચ્ચે મહત્વપૂર્ણ સવાલ એ છે કે નશાબંધી વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવે છે? તેના સપ્લાયર અને મોટા માથાઓે હજુ સુધી કેમ પકડાયા નથી. આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી માટે પાર્ટીનું આયોજનમુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલ (ઉ.વ.49 રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇવાળા) એ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનુ આયોજન કર્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનું આયોજન કરાયું હતું. વેલ્કમ ડ્રિન્ક્સથી લઇને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ હતી. આ પણ વાંચો: સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસાયોવિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. આ પણ વાંચો: કલબ O7ના ફોરમ હોલના પાર્કિંગમાં દારૂની મહેફિલ અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર પોલીસે ઝડપેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. આ પણ વાંચો: અમદાવાદના ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ, 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ જપ્તસાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ પોલીસે કબજે લીધી છે. લગ્નજીવનની 25મી વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે એમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો - બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ:સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં 13 યુવક-26 યુવતીએ દારૂ પીધો હતો અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં. આ પણ વાંચો - અમદાવાદ પોલીસનો ‘જાદુ’, રેડમાં 21 આરોપી, ટેસ્ટમાં 5 ગાયબ અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચાર યુવતી સહિત 16 નબીરા મળ્યાં હતાં, જ્યારે પાંચ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે બે કલાકમાં પાંચેય પોલીસ સમક્ષ હાજર થતાં તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા. આ પણ વાંચો - જ્યાં રેવ પાર્ટી ચાલતી એ ફાર્મહાઉસ પર પહોંચ્યું દિવ્ય ભાસ્કર અમદાવાદના બોપલ પોલીસે મોડીરાતે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેમાં કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હોબાળો:એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક લેટ, મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો, કહ્યું- ઢાંકળીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ

હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દૃશ્યો જોવા મળ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પિત્તો ગયો હતો. શું છે સમગ્ર મામલો?સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી, ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો હતો. મુસાફરો અને સ્ટાફ વચ્ચે તીખી તકરારએરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મુસાફરોએ સ્ટાફનો ઉધડો લેતા સવાલો કર્યા હતા કે, જો ફ્લાઇટ રિ-શેડ્યુલ થઈ છે, તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો. એક રોષે ભરાયેલા મુસાફરે તો ત્યાં સુધી કહ્યું કે, આટલી મોટી એરલાઇન્સ હોવા છતાં અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી સેવાઓ શરૂ કર્યાના દાવાઓ વચ્ચે આવી બેદરકારી શરમજનક છે. દિલ્હીથી ખાલી ફ્લાઇટ કેમ નથી બોલાવતા? ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તમારું અને એમાંય પાછી નવી ફ્લાઇટ ચાલુ કરી છે! શરમ આવવી જોઈએ શરમ, એર ઇન્ડિયા એક્સપ્રેસ! ઢાંકળી પાણીમાં ડૂબી મરવું જોઈએ. મુસાફરોની માગ અને એરલાઇન્સની સ્થિતિમુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ પાસે કોઈ વૈકલ્પિક પ્લાન નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી અથવા મહત્વની મીટિંગ્સ હતી, જે આ વિલંબને કારણે રદ કરવી પડી છે.

દિવ્ય ભાસ્કર 6 Feb 2026 12:05 am

પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓ હવે દબાવી નહીં શકાય:34 જિલ્લાની SP કચેરી પર દેખરેખ રાખવા રાજ્ય સરકારે 35 સિનિયર IPSને જવાબદારી સોંપી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 34 જિલ્લાઓની SP કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે. જરુર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે. જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરશે. જેથી પોલીસ સ્ટેશનમાં થતી અરજી પર એકશન લેવામાં વિલંબ થતો હોવાની જે ફરિયાદો ઉઠતી હતી તેનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. અધિકારીને સોંપવામાં આવેલા જિલ્લાની મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશેજે સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે તેને પોતાના જિલ્લામાં મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે. માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ મોકલી આપવાનો રહેશે. જિલ્લા પોલીસની વિવિધ કચેરીની મુલાકાત કરવાની રહેશેસંબંધિત અધિકારીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી. વિવિધ પ્લેટફોર્મ પર થયેલી અરજીઓને ધ્યાન પર લેવાની રહેશેમુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભ (PG Portal, SWAGAT 2.0 Escalation Matrix, MP-MLA Reference, CMO Swagat Reference સહિત), નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જોવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી 10 થી 15 અરજદારનો રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે. દર મહિને એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશેદર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલન થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમિયાન કરવાની રહેશે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી તેઓના રીમાર્કસ સહિત સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો २हेशे.રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશનો માટે દર માસે સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. કયા જિલ્લાની કયા સિનિયર IPSને જવાબદારી?

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:36 pm

CETP નાખતા પહેલા પર્યાવરણની મંજૂરીથી હવે મુક્તિ:કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયની જાણ ગુજરાત પ્રદુષણ બોર્ડને પણ કરાઈ

દેશભરમાં કાર્યરત તથા નવા સ્થપાનારા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-CETP અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા આ સંદર્ભમાં એક પરિપત્ર જાહેર કરાયો છે.પરિપત્ર અનુસાર, CETPને હવે EIA Notification-2006 હેઠળ પર્યાવરણની મંજૂરી (Environmental Clearance - EC) લેવાથી મુક્તિ મળી છે. આ છૂટ સાથે જ પર્યાવરણીય સુરક્ષા શરતોનું કડક રીતે પાલન ફરજીયાત બનાવાયુ છે. ખાસ માપદંડો નક્કી કરાયા આ મુદ્દો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની એક્સપર્ટ એપ્રેઝલ કમિટી (EAC) અને ત્યારબાદ એક્સપર્ટ એડવાઈઝરી કમિટી સમક્ષ ચર્ચા માટે મૂકાયો હતો. બંને સમિતિઓની વિગતવાર ચર્ચા બાદ CETP માટે ખાસ પર્યાવરણીય સુરક્ષા માપદંડો નક્કી કરાયા છે. જેને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCB) અને કેન્દ્રશાસિત પ્રદેશોના PCC દ્વારા Consent to Establish (CTE) અને Consent to Operate (CTO) આપતી વખતે ફરજિયાત રીતે અમલમાં મૂકવાના રહેશે . CETP સંચાલકો માટે મહત્વની શરતોપરિપત્ર મુજબ, CETP સંચાલકો માટે કેટલીક મહત્વની શરતો નક્કી કરાઈ છે. CETPનું સ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સિટિંગ ક્રાઈટેરિયા મુજબ હોવું ફરજિયાત રહેશે.સભ્ય ઉદ્યોગોમાંથી નીકળતું એફ્લુએન્ટ માત્ર ડેડિકેટેડ પાઈપલાઈન દ્વારા CETP સુધી લાવવાનું રહેશે. ટેન્કર કે વાહન દ્વારા પરિવહન પર પ્રતિબંધ.શુદ્ધ કરાયેલ એફ્લુએન્ટ પાઈપલાઈન મારફતે જ ઉદ્યોગોમાં પુનઃઉપયોગ માટે આપવાનું રહેશે.શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતી, બાગાયત, લેન્ડસ્કેપિંગ કે વાવેતર માટે નહીં કરી શકાય. તમામ ઉદ્યોગોને CETPમાં પ્રવેશતા પહેલા પ્રી-ટ્રીટમેન્ટ ફરજિયાત. CETPમાં ટર્શિયરી ટ્રીટમેન્ટ સિસ્ટમ અનિવાર્ય. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) પદ્ધતિ ફરજિયાત, કોઈપણ સંજોગોમાં પ્રવાહી કચરાનો નિકાલ નહીં. ઇનલેટ અને આઉટલેટ પર ઓનલાઈન સતત મોનિટરિંગ સિસ્ટમ, CPCB/SPCB સર્વર સાથે કનેક્ટિવિટી ફરજિયાત. સ્લજ અને જોખમી કચરાનો નિકાલ Hazardous Waste Rules, 2016 મુજબ કરવો ફરજિયાત. એટલું જ નહીં ફરજિયાત ગ્રીનબેલ્ટ વિકાસ દર વર્ષે પર્યાવરણ કામગીરી ઓડિટ રિપોર્ટ જાહેર વેબસાઈટ પર અપલોડ કરવો.પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્રિમાસિક મોનિટરિંગ ફરજિયાત.પર્યાવરણ સુરક્ષા સાથે ઉદ્યોગોને રાહત.CETP સ્થાપન પ્રક્રિયા બનશે સરળસરકારના આ નિર્ણયથી CETP સ્થાપન પ્રક્રિયા સરળ બનશે, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારોમાં સંયુક્ત ગંદા પાણીના શુદ્ધિકરણને પ્રોત્સાહન મળશે. સાથે સાથે, કડક શરતો દ્વારા જળ પ્રદૂષણ અને પર્યાવરણ પર થતી નકારાત્મક અસરો અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. સરકારો અને ઉદ્યોગો માટે મહત્વનો સંકેતઆ પરિપત્ર બાદ હવે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ્સની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. CETPના સંચાલન, મોનિટરિંગ અને પારદર્શિતા પર ખાસ નજર રાખવામાં આવશે, જેનો સીધો અસર ઉદ્યોગો અને પર્યાવરણ બન્ને પર પડશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:15 pm

બોટાદમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો:વી.એમ.સાકરીયા કોલેજ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજન

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદ ખાતે મહિલા કેન્સર જાગૃતિ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને વી.એમ. સાકરીયા મહિલા આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર પ્રિન્સિપાલ કે.બી. મુંજપરાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. આ સેમિનારમાં મહિલાઓને કેન્સરના વિવિધ પ્રકારો, તેના શરૂઆતના લક્ષણો, સમયસર તપાસનું મહત્વ, નિવારણના ઉપાયો અને તકેદારી માટે આહારના મહત્વ અંગે વિશેષ માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ડો. સેજલબેન ભૂત, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, લાલજીભાઈ કળથીયા અને વિજયભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા અપીલ કરી હતી. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સંચાલન અધ્યાપક કોઓર્ડિનેટર ડો. પી.બી. સતાશીયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડો. રવિન્દ્ર બારોટે કરી હતી. રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 10:00 pm

જીંજરી ગામે થી બે શિકારીઓ ઝડપાયા:માણાવદરના ઝીંઝરી ગામે વાડીમાં શિકારની ફિરાકમાં બેઠેલા બે શખ્સોને વન વિભાગે દબોચ્યા, સસલા પકડવાની 15 જાળીઓ કબજે

​જૂનાગઢ જિલ્લાના વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ સતત કાર્યરત છે ત્યારે માણાવદર રેન્જ હેઠળ આવતા સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામની એક વાડીમાં વન્યજીવોના શિકારની પેરવી કરી રહેલા બે શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સો પાસેથી શિકાર માટે ઉપયોગમાં લેવાતી મોટી સંખ્યામાં જાળીઓ મળી આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​મદદનીશ વન સંરક્ષક સાહિદ ખાન મકરાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને એક સચોટ બાતમી મળી હતી કે ઝીંઝરી ગામની સીમમાં આવેલી શાર્દુલભાઈ ગમારાની વાડીમાં બે શખ્સો શિકાર માટે આવ્યા એકઠ થયા છે. આ બાતમીના આધારે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શિકારીઓને પકડવા માટે ચારેતરફથી ઘેરોબંધી કરી હતી.વન વિભાગે ઘટનાસ્થળેથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં 50 વર્ષીય દેવરાજભાઈ સોલંકી અને 30 વર્ષીય અજય સોલંકીનો સમાવેશ થાય છે જેઓ બંને સરદારગઢના રહેવાસી છે. આ બંને શખ્સો પાસેથી વન્યજીવ સસલા પકડવા માટે ઉપયોગમાં લેવાતી 15 નંગ નેટ એટલે કે મેવટા કબજે કરવામાં આવ્યા છે. આ શખ્સો કોઈ મોટો શિકારનો ગુનો આચરે તે પૂર્વે જ વન વિભાગની સતર્કતાને કારણે તેમને દબોચી લેવામાં આવ્યા હતા. ​ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કડક જોગવાઈઓ અને કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ શખ્સો અગાઉ કોઈ શિકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમની સાથે અન્ય કોઈ મોટા શિકારીઓની ટોળકી સામેલ છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ​વન વિભાગે આ મામલે સ્પષ્ટ જણાવ્યું છે કે વન્યપ્રાણીઓનો શિકાર કરવો અથવા તે માટે સાધન-સામગ્રી રાખવી એ ગંભીર ગુનો છે અને વન્યજીવોના રક્ષણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હજુ પણ વધારવામાં આવ્યું છે. આ સફળ કામગીરીમાં માણાવદર રેન્જના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી અને શિકારીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:49 pm

સિક્કા જેટી પાસે દરિયામાં યુવાન ફસાયો:પોલીસ, 108 અને તરવૈયાની મદદથી સફળ બચાવ

જામનગર નજીક સિક્કા જેટીના દરિયામાં ફસાયેલા એક પરપ્રાંતિય યુવાનનો સફળ બચાવ કરવામાં આવ્યો છે. બપોરના સમયે દરિયામાં અંદર સુધી ગયેલો આ યુવાન અચાનક વીર (ભરતી) આવતા પાણીમાં ફસાઈ ગયો હતો. સિક્કા પોલીસ અને 108ની ટીમે સ્થાનિક તરવૈયાની મદદથી તેને સમયસર બહાર કાઢી લીધો હતો. બનાવની વિગત મુજબ, મોટી ખાવડીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો 30 વર્ષીય અજીમ મુક્તારખાન શેખ ગુરુવારે બપોરે સિક્કા જેટી પાસે ફરવા આવ્યો હતો. દરિયામાં ઓટ હોવાથી પાણી પાછું ફર્યું હતું, જેથી તે લગભગ એક નોટિકલ માઈલ સુધી દરિયામાં ચાલીને અંદર પહોંચી ગયો હતો. જોકે, તે કંઈ સમજે તે પહેલાં જ અચાનક વીર (ભરતી) આવી ગઈ હતી અને પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું હતું. પાણી તેની કમર અને છાતી સુધી પહોંચી ગયું હતું. દરિયાઈ પથ્થરો પગમાં વાગવાથી તેને ઈજા પણ થઈ હતી અને તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ કપરી પરિસ્થિતિમાં અજીમે પોતાના મોબાઈલ ફોન દ્વારા સૌપ્રથમ 112 નંબર પર પોલીસની મદદ માંગી હતી. જોકે, તે વિસ્તારથી અજાણ હોવાથી પોતાનું ચોક્કસ લોકેશન આપી શક્યો ન હતો. માહિતી મળતા જ સિક્કા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ભાયાભાઈ મશુરા અને કિશોરસિંહ જાડેજા 112 નંબરની પોલીસ જીપ સાથે તાત્કાલિક સાયરન વગાડતા સિક્કા જેટી પાસે પહોંચ્યા હતા. તેમની સાથે 108ની ટીમના પાયલોટ ઘનશ્યામસિંહ જાડેજા અને દક્ષાબેન વાજા પણ યુવાન અજીમ સાથે મોબાઈલ સંપર્ક ચાલુ રાખીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે સ્થાનિક તરવૈયા હસન કાસમભાઈ કમોરાની મદદ લીધી હતી. તરવૈયાની મદદથી લગભગ એક નોટિકલ માઈલ અંદર દરિયામાં ફસાયેલા અજીમ શેખને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અજીમને પગમાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. બચી ગયેલા યુવાને પોલીસ તંત્ર, 108ની ટીમ અને તમામ મદદગારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સિક્કા પોલીસ સ્ટેશનની ટુકડી,તેમજ 108 ની ટીમ તથા સ્થાનિક તરવૈયા વગેરે ની અડધો કલાકની જહેમત ને કારણે આખરે એક યુવાન દરિયામાં ડૂબતો બચ્યો હતો, અને તેને સહી સલામત બહાર કાઢી લીધો હતો. જેથી તેણે પોલીસ તથા 108 સહિત ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:44 pm

બુટલેગર સરપંચ સામે કાર્યવાહી: ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત:વલસાડના પંચલાઈ ગામમાં સત્તા બચાવવા રાજકીય ખેલ ગરમાયો

વલસાડ તાલુકાના પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિની તાજેતરમાં દારૂના કેસમાં ધરપકડ થયા બાદ રાજકારણ ગરમાયું છે. વલસાડ પોલીસે સરપંચ વિરુદ્ધ તાલુકા અને જિલ્લા પંચાયતમાં રિપોર્ટ કરતાં તેમની ખુરશી જોખમમાં મુકાઈ છે. આ સ્થિતિમાં સરપંચે પોતાની સત્તા બચાવવા માટે ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ સામે બુટલેગરીના ગંભીર આરોપો છે. ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ તેમને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. વહીવટી તંત્ર દ્વારા સસ્પેન્શન અથવા બરતરફીની કાર્યવાહી ગણતરીના દિવસોમાં થવાની શક્યતા છે. આ કાર્યવાહીથી પોતાની ખુરશી જતી જણાતાં સરપંચે ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ગામમાં એવી ચર્ચા છે કે સરપંચે પોતાની સત્તા ટકાવી રાખવા અને પોતાની સામેની કાર્યવાહીમાંથી ધ્યાન ભટકાવવા માટે આ પગલું ભર્યું છે. સત્તાની આ ખેંચતાણમાં પંચલાઈ ગામનો વિકાસ અટકી પડ્યો છે. 15મા નાણાપંચ અંતર્ગતના કામો સ્થગિત થઈ ગયા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા સહિતના રોજિંદા પ્રશ્નોથી ગ્રામજનો પરેશાન છે, અને પંચાયતનું વહીવટ તંત્ર જાણે ઠપ્પ થઈ ગયું છે. અવિશ્વાસની દરખાસ્તમાં ઉપસરપંચ સામે પાંચ મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા છે. તેમાં પંચાયત કાર્યરીતિના નિયમોનો ભંગ કરી સભા સંચાલનમાં દબાણ કરવું, મિનિટ્સ બુકમાં પાછળથી ઠરાવો લખાવવા દબાણ કરવું, 15મા નાણાપંચના કામોમાં સભા બાદ ખોટી નોંધ કરાવવી, મનસ્વી વહીવટ માટે દબાણ લાવવું તથા સરપંચ અને સભ્યો સાથે અભદ્ર વર્તન કરવાના આરોપોનો સમાવેશ થાય છે. જોકે, આ આરોપો વહીવટી છે કે રાજકીય કિન્નાખોરી, તે એક મોટો પ્રશ્ન છે. ગામમાં ખુલ્લેઆમ ચર્ચા છે કે, જેમના પર ખુદ બુટલેગરીના આરોપો છે તેઓ કયા મોઢે બીજા પર મનસ્વી વહીવટના આક્ષેપ કરી શકે? લોકો આને સત્તા બચાવવાનો અંતિમ પ્રયાસ ગણાવી રહ્યા છે. હવે સમગ્ર મામલે નિર્ણય વલસાડ તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓના હાથમાં છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:42 pm

જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો:LCBએ 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી

જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના મુજબ, જિલ્લામાંથી દારૂ-જુગારની બદી નાબૂદ કરવા માટે એલ.સી.બી. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી.ના PSI સી.એમ. કાંટેલીયા, PSI એમ.વી. ભાટીયા અને સ્ટાફ જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા અને અજયભાઈ વિરડાને મળેલી ખાનગી બાતમીના આધારે, જામનગર ખોડિયાર કોલોની, રાજ ચેમ્બર પાછળ, ગિરધરનગર એપાર્ટમેન્ટ, બ્લોક નં-બી, રૂમ નં-3 માંથી આરોપી યુવરાજસિંહ કનુભા ચુડાસમા (ઉ.વ.26, ધંધો ડ્રાઇવિંગ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી નાની-મોટી કુલ 354 ઇંગ્લિશ દારૂની બોટલો કિંમત રૂ. 1,72,600 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 1,77,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ભયપાસલિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી યુવરાજસિંહે આ દારૂનો જથ્થો જામનગરની રીટાબેન સાથે મળીને વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતભાઈ પટેલ સહિતના દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:41 pm

ચંદ્રુમાણામાં સુવિધાપથનું કામ ગરનાળા પાસેથી શરૂ થશે:આંગણવાડી પાસે ખરાબ રસ્તાની રજૂઆત બાદ તંત્રનો નિર્ણય

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે બસસ્ટેશન વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સુવિધાપથનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી હવે રોહિતવાસ આંગણવાડી પાસેના ગરનાળા પાસેથી શરૂ કરવામાં આવશે, તેમ સાઇટ સુપરવાઇઝરે જણાવ્યું હતું.આંગણવાડી પાસે રસ્તો ખરાબ હોવા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે બુધવારે માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ. ભરતભાઈએ સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, ગ્રામજનો અને સરપંચે રોડનું કામ ગરનાળા પાસેથી જ શરૂ કરવા ભારપૂર્વક માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં આ સ્થળે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ઉપરાંત, એસ.ટી. બસો પણ ચાણસ્મા ડેપો દ્વારા બંધ કરવાની ફરજ પડે છે. આંગણવાડી કેન્દ્ર આવેલું હોવાથી બાળકોને પણ પાણીમાંથી પસાર થઈને આવવું-જવું પડે છે. આ સમસ્યાઓ ધ્યાનમાં રાખીને, એસ.ઓ. ભરતભાઈએ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી. ત્યારબાદ, ગામલોકોના હિતમાં ગરનાળાથી કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અંગે સરપંચ કાજલબેન વ્યાસે ધારાસભ્ય કિરીટભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે ધારાસભ્યએ પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય કિરીટભાઈ પટેલે તત્કાલીન સરપંચ શૈલેષભાઈ દેસાઈની રજૂઆતથી આ રસ્તો મંજૂર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 9:30 pm

ફાયર વિભાગનો ત્વરિત નિર્ણય:BSNLના નંબરો બંધ થતાં ફાયર વિભાગે વૈકલ્પિક મોબાઇલ, ફોન નંબર જાહેર કર્યા, 101 - 102 નંબર ન લાગે તો આ નંબર પર ફોન કરવા અપીલ

રાજકોટ શહેરની અત્યંત મહત્વની ઇમરજન્સી સેવા ફાયર બ્રિગેડ ફરી એકવાર BSNLના નેટવર્કની ખામીનો ભોગ બની હતી. ફાયર કંટ્રોલ રૂમના BSNL ફોનમાં ફોલ્ટ સર્જાતા આ બાબતથી અજાણ લોકો વારંવારમાં ફાયર વિભાગનો સંપર્ક કરતા નંબર બંધ આવ્યા હતા. આ તકે લોકોમાં જાગૃતતા આવે અને જાહેર સેવા, આગ, અકસ્માત જેવી તાત્કાલિક પરિસ્થિતિઓમાં કોઈ વિલંબ ન થાય તે હેતુથી ફાયર વિભાગ દ્વારા વૈકલ્પિક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે, આજે BSNLની લાઈનમાં ફોલ્ટ હોવાથી 101 અને 102 નંબર બંધ થયા હતા. જોકે તે ગણતરીની કલાકોમાં પૂર્વવત થઈ ચૂક્યા છે. આમ છતાં ક્યારેય આ નંબર ન લાગે તો લોકો આગ, દુર્ઘટના કે અન્ય તાત્કાલિક ફાયર સેવાઓ માટે હવે કંટ્રોલ રૂમ નં.94299 03261 ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત ફાયર વિભાગના જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે. જેમાં લીડિંગ ફાયરમેન જયસુખભાઈ (મો.નં.70964 33832), ફાયર ઓફિસર ઋષિ તન્ના (મો.નં.81500 0098), ફાયર ઓફિસર રોનકભાઈ (મો.નં. 83470 29123) તેમજ ફાયર ઓફિસર વિશાલભાઈ (મો.નં.99251 52604)નો ઇમર્જન્સીમાં સંપર્ક કરી શકાશે. મનપાની ચૂંટણી બે માસ પાછી ઠેલાય તેવી સંભાવના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત રાજકોટ જીલ્લાની આખરી મતદાર યાદીની પ્રસિધ્ધી આગામી તારીખ 17ના રોજ કરી દેવામાં આવનાર છે. જે બાદ રાજકોટ મ્યુનિ.કોર્પો.ની વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરવાની કામગીરીમાં વહીવટી તંત્ર લાગી જશે. બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરવામાં દોઢથી બે માસ જેટલો સમય પસાર થશે. આ સંજોગોમાં રાજકોટ મનપાની ચૂંટણી દોઢથી બે માસ પાછી ઠેલાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદત આગામી તા.11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. જે બાદ જો ચૂંટણી પાછી ઠેલાય તો મનપામાં વહીવટદાર મુકાશે. અહીં ઉલ્લેખનીય છે કે મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી પૂર્ણ થતા હાલ કલેકટર તંત્ર દ્વારા વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. જે બાદ તા.17 ફેબ્રુઆરીના રાજકોટ જીલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અજાણ્યા, બિનવારસુ દર્દીઓ માટે સેવાનું જીવંત ઉદાહરણ બની અજાણ્યા, બિનવારસુ અને પરિવાર દ્વારા અવગણનાનો ભોગ બનેલા દર્દીઓ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ આજે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અહીં કાર્યરત હેલ્પ ડેસ્ક ટીમ 24 કલાક સેવા આપીને આવા દર્દીઓની સારવાર, સંભાળ અને પુનર્વસન સહિતની જવાબદારી માનવતાપૂર્વક નિભાવે છે. ગોંડલના રહેવાસી કેન્સર પીડિત કૌશરબાનું ઈબ્રાહીમભાઈ આ સેવાનું તાજેતરનું ઉદાહરણ છે. પરિવાર હોવા છતાં યોગ્ય દેખભાળના અભાવે તેમની હાલત ગંભીર હતી ત્યારે રાજકોટ સિવિલના મેડિસિન વોર્ડમાં મેઘાવી બપલ, પાર્થ અને પ્રિયંકાની ટીમે તેમને નવજીવન આપ્યું હતું. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયા અને નોડલ ઓફિસર હર્ષદ દૂસરાના માર્ગદર્શન હેઠળ હેલ્પ ડેસ્ક ટીમે માત્ર સારવાર નહીં પરંતુ દર્દીના પુનર્વસનની પણ ચિંતા કરી હતી. પરિવાર દ્વારા જવાબદારી લેવાનો ઇનકાર કરાતા એચ.આર. મેનેજર ભાવનાબેન સોની અને ટીમ દ્વારા તેમને સુરેન્દ્રનગરના નિરાંત ઘર આશ્રમમાં આશ્રય અપાવવામાં આવ્યો હતો તેમજ સિવિલની એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને સુરક્ષિત રીતે આશ્રમ સુધી પહોંચાડી માનવતા મહેકાવવામાં આવી હતી. પતંગના દોરામાં ફસાયેલા કબૂતર પક્ષીનો જીવ બચાવ્યો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેસ્ટ ઝોન શાખા હેઠળ આવતા વોર્ડ નં. 11 વિસ્તારમાં માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. મવડી વિસ્તારના શ્યામલ સ્કાય લાઈફ, જય દ્વારકાધીશ ચોક પાસે આવેલા શ્રી સીતાજી ટાઉનશિપ મેઈન રોડ પર ભારતનગર 7/બી ટાઉનશિપ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશિપની વચ્ચે પતંગના દોરામાં ફસાયેલા કબૂતર પક્ષીનો જીવ બચાવી મવડી ફાયર બ્રિગેડ સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી. પતંગના દોરામાં ગંભીર રીતે ફસાયેલા કબૂતર પક્ષીને જોઈ સ્થાનિક નાગરિકો દ્વારા મવડી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ભારે મહેનત અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી પક્ષીનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:42 pm

ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા. ​:એસ.ઓ.જી.એ મધરાતે દરોડો પાડી 4 કિલોથી વધુ ગાંજો ઝડપ્યો,એક્ટિવા પર ₹2.18 લાખનો જથ્થો સપ્લાય કરવા આવેલા બે ઇસમો જેલહવાલે.

જૂનાગઢમાં એસ.ઓ.જી.એ દોલતપરા વિસ્તારમાં દરોડો પાડી 4.378 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. 2,18,900 ની કિંમતનો નશીલો પદાર્થ, એક્ટિવા અને મોબાઈલ સહિત કુલ 2,54,640 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી નશાના કાળા કારોબાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ​જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને નાબૂદ કરવા માટે એસ.ઓ.જી. ની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ નશાનો જથ્થો સપ્લાય કરવા જઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દોલતપરા વિસ્તારમાં દરોડો પાડીને કુલ ₹2,54,640 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા અને પો.કોન્સ. રોહિતભાઇ ધાધલને બાતમી મળી હતી કે, હિતેશ શાંતિલાલ શાહ નામનો ઇસમ પોતાની બ્લેક કલરની એક્ટિવા પર ગાંજાનો જથ્થો લઈને દોલતપરા રામદેવપરામાં રહેતા યુનુસ સુલતાન કુરેશીના ઘરે ઇકબાલખાન પઠાણને વેચાણ કરવા આવવાનો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવી હતી. હિતેશ જેવો એક્ટિવાની સીટ નીચેથી થેલી કાઢીને મકાનમાં પ્રવેશ્યો, કે તરત જ પોલીસે ત્રાટકીને બંનેને પકડી પાડ્યા હતા. ​પોલીસે આ મામલે જમાલવાડીના ઇકબાલખાન અશરફખાન પઠાણ અને ખામધ્રોળના હિતેશ શાંતિલાલ શાહની ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ જૂનાગઢ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ​જૂનાગઢ એસ.ઓ.જી.ના પી.આઈ. આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી. આ ઓપરેશનમાં એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા અને અન્ય જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:41 pm

વરઘોડામાં નાચવા બાબતે યુવકની હત્યા:મહેસાણામાં ત્રણ અજાણ્યા શખસોનો હથિયારો વડે હુમલો, 8 દિવસની સારવાર બાદ યુવકનું મોત

શહેરના ભોયરાવાસ વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે વરઘોડા દરમિયાન નાચવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે આજે લોહિયાળ વળાંક લીધો છે. ઇન્દિરાનગર પાસે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન રાકેશ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલો હવે હત્યામાં પરિણમ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્રણ શખસોનો હથિયારો સાથે રાકેશ પર હુમલો​ઘટનાની વિગત મુજબ ગત 28 જાન્યુઆરીએ અમરસિંહ ઠાકોરના વરઘોડા દરમિયાન કમલેશ ઉર્ફે મોનુ ઓમદાસ બાવાજી તલવાર ફેરવી રહ્યો હતો. આ સમયે તલવાર મુકેશજી નામના વ્યક્તિની દીકરીને વાગતા તે નીચે પડી ગઈ હતી. જે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય અદાવત રાખીને કમલેશ, તેનો ભાઈ મોનુ, મોઈન અને અન્ય ત્રણ અજાણ્યા શખસોએ હથિયારો સાથે રાખી રાકેશ વાઘેલા પર હુમલો કર્યો હતો. યુવકને માથામાં છરો વાગતા 40 ટાંકા આવ્યા​જ્યારે મુકેશજી તેમના મિત્ર રાકેશ વાઘેલાને મૂકવા જઈ રહ્યા હતા. ત્યારે આ શખ્સોએ તેમને આંતરીને ધારિયા, છરા અને તલવાર જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં રાકેશ વાઘેલાના માથામાં છરો વાગતા તેમને 40 જેટલા ટાંકા આવ્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાકેશ ઉપરાંત દશરથજી અને અનિલજી નામના યુવાનો પણ આ હુમલાનો ભોગ બન્યા હતા. સારવાર દરમિયાન યુવકનું મોતઆ મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે અગાઉ છ શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ રાકેશ વાઘેલાનું મોત નિપજતા પોલીસે હવે આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:27 pm

આણંદ જિલ્લા પંચાયતમાં આધુનિક ઘોડિયા ઘર બન્યું:કર્મચારીઓના બાળકો માટે સુવિધાસભર વ્યવસ્થા, કામગીરી પૂર્ણતાના આરે

આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓના નાના બાળકો માટે આધુનિક અને સુવિધાસભર ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આ પ્રકારની આ પ્રથમ પહેલ છે, જેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવહુતિએ આ અંગે માહિતી આપી હતી. DDO દેવહુતિએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં આશરે 25 જેટલા કર્મચારીઓના નાના બાળકો છે. મહિલા કર્મચારીઓને ફરજ દરમિયાન બાળકોની સંભાળ અંગે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ ચિંતામુક્ત થઈને કામ કરી શકે તે હેતુથી આ ઘોડિયા ઘરનું આયોજન કરાયું છે. આ ઘોડિયા ઘર સંપૂર્ણપણે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં નાના બાળકો માટે રમકડાં, આકર્ષક મિકી માઉસ જેવા કાર્ટૂન પાત્રોથી સુશોભિત દિવાલો, દિવસ દરમિયાન આરામ કરવા માટે ત્રણ બેડ અને ઘોડિયાંની સુવિધા ઉપલબ્ધ છે. બાળકો બેસી શકે, રમી શકે અને રમતાં-રમતાં પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવું આયોજન કરાયું છે. આ માટે આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓની સેવા લેવામાં આવશે. DDO દેવહુતિએ ઉમેર્યું હતું કે તેઓ અગાઉ રાજકોટમાં સહાયક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમણે ઘોડિયા ઘર બનાવવાની પહેલ કરી હતી. તેમાંથી પ્રેરણા લઈને આણંદ જિલ્લા પંચાયત ખાતે આ ઘોડિયા ઘરનું નિર્માણ કરાયું છે. આ સુવિધા માત્ર બાળકોની સંભાળ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસમાં પણ મદદરૂપ થશે. અહીં બાળકો સુરક્ષિત વાતાવરણમાં રમતાં-રમતાં પ્રાથમિક શિક્ષણ મેળવી શકશે. જિલ્લા પંચાયતની આ પહેલ કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે અને ભવિષ્યમાં અન્ય સરકારી કચેરીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડશે. ઘોડિયા ઘરની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:24 pm

ફતેપુરામાં જમીન વિવાદમાં એક પરિવારના 4 સભ્યો ઘાયલ:પાઈપ-લાકડીઓથી હુમલો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામે જૂની અદાવત અને જમીન વિવાદમાં હિંસક હુમલો થયો છે. ચાર શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે એક જ પરિવારના ચાર સભ્યો પર હુમલો કર્યો હતો, જેમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના માધવા ગામના બુગાદરા ફળિયામાં બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતી જમીન વિવાદ અને જૂની અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. ગત તા. 02/02/2026 ના રોજ બપોરે આશરે એક વાગ્યે આ હિંસક ઘટના ઘટી હતી. ફરિયાદી ઉમેશ ચંપાના પિતાને તેમની પુત્રવધૂ ઇનકાએ ફોન કરીને જાણ કરી હતી કે, અનિલ દલા નામનો શખ્સ ઘરે આવીને 'તારામાં કેટલો પાવર છે તે મારે માપવો છે' તેમ કહી ધીંગાણું કરી રહ્યો છે. પરિવારના સભ્યો સ્થળ પર પહોંચતા જ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. તકરાર દરમિયાન, પરસોત્તમ છગન નામના શખ્સે ઉશ્કેરાઈને જાહેર રોડ પર બિભત્સ ગાળો ભાંડી હતી. તેણે પોતાની પાસે રહેલી લોખંડની પાઈપ વડે ઉમેશ પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો. આ હુમલા દરમિયાન વચ્ચે પડેલા મનિષાબેન પર સુનિલ અનિલ નામના શખ્સે લાકડાના ફટકા માર્યા હતા, જેના કારણે તેમને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્ય સુરેશને બચાવવા પિતા ચંપા માવજી વચ્ચે પડ્યા, ત્યારે કમલેશ મગન નામના શખ્સે પરસોત્તમ પાસેથી પાઈપ આંચકી લીધી હતી અને વૃદ્ધ પિતાના કમરના ભાગે આડેધડ ફટકા માર્યા હતા. હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે, 'આજે તો તમે બચી ગયા છો, પણ હવે પછી મળશો તો જાનથી મારી નાખીશું.' ઘટનાને પગલે સ્થાનિકોએ 112 અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ફતેપુરા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વિનાયક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફતેપુરા પોલીસે ફરિયાદી ઉમેશ ચંપાની ફરિયાદના આધારે અનિલ દલા, પરસોત્તમ છગન, સુનિલ અનિલ અને કમલેશ મગન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:23 pm

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો મોટો નિર્ણય:શહેરના 1.72 લાખ વિદ્યાર્થીઓને બૂટ અને મોજા આપશે, શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 શાળાઓ અને શિક્ષકોનું સન્માન

અમદાવાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા બજેટમાં કરવામાં આવેલી 5 કરોડ રૂપિયાની જોગવાઇને પગલે, હવે શહેરની મ્યુનિસિપલ શાળાઓના અંદાજે 1,70,000 વિદ્યાર્થીઓને બૂટ અને મોજા આપવામાં આવશે. આ નિર્ણયથી વાલીઓ પરનો આર્થિક બોજો ઘટશે અને વિદ્યાર્થીઓને સુવિધા મળશે. 100 શાળાઓ એને શિક્ષકોનું સન્માન કરાશેસ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'શતાબ્દી મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત 100 શ્રેષ્ઠ 'અનુપમ શાળાઓ' અને 100 'સદીના સિતારા' સમાન શિક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. વધુમાં, શિક્ષણ સમિતિના તૈયાર થયેલા નવીન ભવનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. 9 પ્રા.શાળાઓને અમદાવાદ ન.પ્રા. શિક્ષણ સમિતિને સોંપાશેશિક્ષણ વ્યવસ્થાને વધુ સારી બનાવવાના ભાગરૂપે, રાજ્ય સરકારના જાહેરનામા મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની કુલ 9 પ્રાથમિક શાળાઓ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદને સોંપવામાં આવશે. જેમાં ઘુમા, બોપલ અને કઠવાડા જેવી શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા 9 ફેબ્રુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:21 pm

ઓસ્ટ્રેલિયાથી પુત્રએ ગુંદાવાડીમાં રહેતાં બાબાનો સંપર્ક કર્યો હતો:રાજકોટના ઢોંગી બાબાએ અમદાવાદના વેપારી પાસેથી રૂ.24.23 લાખ પડાવી વધારે રૂપીયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે કહી ધમકી આપી

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીષ ધામીએ અમદાવાદના વેપારીનું દુઃખ દર્દ દૂર કરવા બહાને રૂ.24.23 લાખ પડાવી લીધા બાદ જો વધારે રૂપીયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે તેમ ધમકી આપી છેતરપીંડી આચરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ રહેતાં વેપારીને તેમના પત્નીને પગમાં સોજો રહેતા, ઘરમાં કંકાસ થતા, અને ધંધો વ્યવસ્થીત ચાલતો ન હોવાથી તેમજ દિકરાની સગાઈ ન થતાં વ્યથિત રહેતા હતા જેથી ઓસ્ટ્રેલિયાથી પુત્રએ ગુંદાવાડીમાં રહેતાં બાબાનો સંપર્ક કર્યો હતો અને ઢોંગી બાબાએ રૂપિયા પડાવી લેતા વધુ એક શિક્ષિત પરિવાર અંધશ્રધ્ધાનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. અંકીત વર્ષ 2019થી ઓસ્ટ્રેલીયા રહી નોકરી કરે છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલા રોડ પર રહેતાં જયંતિલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સતીષ રામજી ધામીનું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના બંગલા પાસે હરી ઓમ ટ્રેડસ નામે કરીયાણાની દુકાન રાખી વેપાર કરે છે. તેઓને સંતાનમાં બે દીકરા છે જેમા મોટો પુત્ર અંકીત વર્ષ 2019થી ઓસ્ટ્રેલીયા રહી નોકરી કરે છે. અંકીતની એકવાર સગાઈ થઇ હતી અને તે સગાઈ તુટી ગઈ હતી જેના કારણે અંકિત ચિંતામાં રહેતો હતો દરમિયાન અંકિતે તેમના મીત્ર પાર્થ ચોવટીયાને વાત કરતાં પાર્થ ચોવટીયાએ કહ્યું કે, તેઓને પણ તેમના ઘરમા કંકાસ રહેતો જેથી તે રાજકોટ રહેતા ચમત્કારી સતીષ ધામી પાસે ચમત્કારી કામ કરાવી ઘરમા કંકાસ ન થાય તે માટે સતીષ ધામીને પૈસા આપે છે. જેથી પુત્ર અંકિત ઘરની અને પોતાની સમસ્યાઓથી કંટાળી મીત્ર પાર્થને કહ્યું કે, તુ મને આ ચમત્કારી સતીષ ધામીનો સંપર્ક કરાવી આપ મારે પણ તેમની પાસે મારુ કામ કરાવવુ છે. ચમત્કારી સતીષ ધામી અંકિત પાસે પરીવારની માહિતી મેળવી ઓકટોબર 2022માં પાર્થ ચોવટીયાએ વિડીયો કોલથી આ સતીષ ધામી સાથે અંકિતને વાત કરાવી હતી અને સતીષ ધામીએ વિડીયો કોલમાં કહ્યું કે, કોઈ કામ હોય તો કયો, હું તમારી તમામ સમસ્યાઓ દુર કરી આપીશ. અંકિત આ વાતમા આવી અને અવાર-નવાર સતીષ ધામી સાથે વોટસએપ કોલથી વાતચીત કરતો હતો. ચમત્કારી સતીષ ધામી અંકિત પાસે પરીવારની માહિતી મેળવી અને અંકિતને પી.આર.માં તથા ઘરમાં કંકાસ નહી રહે તેમજ પત્નીને પગમા સારુ રહેશે તેમજ ભગવાનની અલગ-અલગ વાતો કરી સત્સંગ કરતો હતો. બાદમાં સતીષ ધામી દિકરાનુ કામ કરાવી આપે તે માટે તેઓને પૈસા આપવા પડશે તેમ વાત થતા અંકિતે ઓસ્ટ્રેલીયાથી તેઓના બેંક એકાઉન્ટમા અલગ અલગ સમયે કુલ રૂ.13,23,112 આપ્યા હતા. તમામ કામ થઈ જશે, તમારે મને રૂપીયા આપતા રહેવા પડશે ત્યારબાદ વર્ષ 2023મા અંકિત ઓસ્ટ્રેલીયાથી અમદાવાદ આવ્યો હતો અને ફરીયાદી પરીવાર સાથે વર્ષ 2023માં સતીષ ધામીના ઘરે આવ્યા હતા. સતીષ ધામીને ઘરમાં ચાલતા કંકાસ, પત્નીને પગમા થતો દુખાવો, અંકિતની સગાઈ બાબતે વાતચીત કરતાં તેણે કહ્યું કે, તમારા તમામ કામ થઈ જશે, તમારે મને રૂપીયા આપતા રહેવા પડશે. બાદમાં ફરીયાદીના બીજા પુત્ર હાર્દિકે સતીષ ધામીને અલગ-અલગ સમયે કુલ રૂ.5,00,400 આપ્યા હતા. બાદમાં ડીસેમ્બર 2025માં ફરી રાજકોટ સતીષ ધામીના ઘરે આવ્યા હતા અને કામ થતુ ન હોય તે બાબતે તેઓને વાત કરતા સતીષ ધામીએ કહ્યું કે, તમારા કામ માટે માતાજીની વીધી કરવી પડશે તેના 2 લાખ થશે અને નહી આપો તો તમારા પર મારા ઘરે બેસેલ મારી માતાજી કોપાઈ માન થશે. જેથી તેઓની પાસે રહેલ બે લાખ રૂપીયા રોકડા સતીષ ધામીને તેમના ઘરે આપ્યા હતા. કુલ રૂ.24.23 લાખ લઈ કામ નહી કરી છેતરપીંડી આચરી બાદમા પણ કામ ન થતા અંકીતે સતીષ ધામીને ફોન કરી વાત કરતા તેઓએ હજુ રૂપીયા આપવા પડશે તેમ વાત કરેલ હતી. જે બાદ આજ સુધી કંઈ પણ કામ થયેલ ન હોય અને સતીષ ધામી છેતરપીંડી કરતો હોવાનુ માલુમ પડતા અંકિતે તેમના મીત્ર પાર્થ ચોવટીયાને વાત કરતા પાર્થે વાત કરી કે તેઓના પણ રૂપીયા લઈને તેઓનુ કામ કરેલ નથી. જેથી આરોપીએ કુલ રૂ.24.23 લાખ લઈ કામ નહી કરી છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાટ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:18 pm

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રદર્શની-ફિલ્મ શો ખુલ્લો મુકાયો:125મી જન્મજયંતી નિમિત્તે આણંદની કોલેજમાં આયોજન

આણંદ: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે એન.એસ. પટેલ આર્ટસ (ઓટોનોમસ) કોલેજ ખાતે પ્રદર્શની અને ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, એન.એસ. પટેલ આર્ટસ કોલેજ અને વિઝન ફાઉન્ડેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આજથી બે દિવસ આયોજન કરાયું છે. આ પ્રદર્શની તમામ નાગરિકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુલ્લી મુકવામાં આવી છે.આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન તા. 5 ફેબ્રુઆરીના રોજ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. ભીખુભાઈ પટેલ (મંત્રી, SPET, આણંદ), ડૉ. મોહનભાઈ પટેલ (કુલપતિ, કચ્છ યુનિવર્સિટી), નીરવ અમીન (મંત્રી, ભાજપ ગુજરાત), ડૉ. આશવ પટેલ (ડાયરેક્ટર, દિન દયાળ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર, ગુજરાત), પ્રણવભાઈ વ્યાસ (વિઝન ફાઉન્ડેશન), ડૉ. એમ.જી. મન્સૂરી (OSD, SPET), ડૉ. એમ.કે. ચૌધરી (કા. આચાર્ય, NSPAC) અને સંજયભાઈ પટેલ (નાટ્યકલા સંસ્થા) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનથી પરિચિત કરાવવાનો છે. એક દેશ મેં દો પ્રધાન – દો વિધાન – દો નિશાન નહિ ચલેંગે નહિ ચલેંગે ના નારા સાથે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવા માટે તેમણે આપેલા બલિદાનને યુવાનો જાણે અને રાષ્ટ્ર માટે જીવન જીવવા કટિબદ્ધ થાય તે માટે આ 125મી જન્મજયંતી વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર SPET પરિવારના પદાધિકારીઓ, આચાર્ય, પ્રાધ્યાપક તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી પ્રદર્શની અને ફિલ્મ નિહાળી હતી. આ પ્રદર્શની તા. 6 ફેબ્રુઆરીના રોજ પણ સામાન્ય જનતા માટે કોલેજ ખાતે ખુલ્લી રહેશે.નગરજનો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોને આ પ્રદર્શની અને ફિલ્મ શો જોવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:12 pm

TAT-HS 2026ની જાહેરાત, 29 માર્ચે પરીક્ષા:ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી માટે પરીક્ષા ફરજિયાત, 10 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચ માધ્યમિક) – TAT-HS 2026ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ભરતી માટે આ પરીક્ષા ફરજિયાત રહેશે.જાહેરાત મુજબ, 10 ફેબ્રુઆરી 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે ઉમેદવારો 10 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન ફી ભરી શકશે. મુખ્ય પરીક્ષાની મેં-2026માં જાહેરાત થવાની સંભાવનાઆ પરીક્ષા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, જેમાં વિષયજ્ઞાન સાથે સાથે શિક્ષકની અભિરૂચિ, શૈક્ષણિક સમજ અને મલ્ટી-ડિસિપ્લિનરી સ્કિલ્સ પર ભાર મૂકવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના વિવિધ વિષયો માટે આ પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિજ્ઞાન, વાણિજ્ય, કલા તથા અન્ય વિષયોનો સમાવેશ થાય છે.શિક્ષક બનવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:09 pm

ગાંધીનગરમાં મિલકતવેરાની કડક ઝુંબેશ:મહાનગરપાલિકાએ 9 હજાર બાકીદારોને નોટિસ બાદ 70 મિલકતો સીલ કરી, 10 કરોડની વસૂલાત થઈ

ગાંધીનગર મહાનગર પાલિકાના મિલકતવેરા વિભાગે લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં ન આવતા સીલિંગનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 70 મિલકતોને સીલ કરવામાં આવી છે. જ્યારે આકરી કાર્યવાહીના પગલે બાકીદારોએ રૂ. 10.58 કરોડનો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવ્યો છે. 9172 બાકીદારોને છેલ્લી નોટિસ ફટકારીગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાત માટે ઝુંબેશ હાથ હાથ ધરી લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનારા બાકીદારો સામે સીલિંગ અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકાની ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરનારા 9172 બાકીદારોને છેલ્લી નોટિસ ફટકારવામાં આવી હતી. કરદાતાઓએ વેરો ભરપાઈ કરતા 10 કરોડની વસૂલાતઆ નોટિસો દ્વારા બાકીદારોને નિયત સમયમર્યાદામાં વેરો જમા કરાવી દેવા તાકીદ કરાઈ હતી. તંત્રની આ કડકાઈને કારણે અનેક કરદાતાઓએ વેરો ભરપાઈ કરતા રૂ.10.58 કરોડની વસૂલાત થઈ હતી. જોકે જે બાકીદારોએ આખરી ચેતવણી બાદ પણ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી તેમની સામે ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ભાગરૂપે રહેણાંક અને વ્યાપારી એકમો મળી કુલ 70 મિલકતોને સીલ કરીને તેની ચાવીઓ જપ્ત કરી લેવામાં આવી છે. વર્ષ 2025-26માં કુલ 70.30 કરોડની વસૂલાતમહાનગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ વસૂલાત રૂ. 70.30 કરોડ પર પહોંચી છે. આ વસૂલાતમાં કુલ 1,28,611 કરદાતાઓમાંથી 72,063 નાગરિકોએ ઓનલાઇન પોર્ટલ કે એપ દ્વારા રૂ.32.72 કરોડ વેરો ચૂકવ્યો છે. જ્યારે 56,598 કરદાતાઓએ ઓફલાઇન કેશ બારી પર જઈને રૂ. 37.57 કરોડ વેરો જમા કરાવ્યો છે. મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા શરૂ કરાશેઆ આંકડા દર્શાવે છે કે શહેરીજનોમાં ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે, પરંતુ હજુ પણ એક મોટો વર્ગ બાકી હોવાથી તંત્ર સીલિંગની કામગીરી ચાલુ રાખી રહ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચના અપાઈ છે કે જે મિલકતો સીલ કરવામાં આવી છે જો તેમના માલિકો વહેલી તકે વેરો નહીં ભરે તો નિયમ મુજબ આ મિલકતોની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:08 pm

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ

TAT Exam Date: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 29 માર્ચે TAT( Teacher Aptitude Test)ની પ્રિલિમ પરીક્ષા તો મે મહિનામાં સંભવિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 10 ફેબ્રુઆરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ફી ભરી શકાશે. વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારો ojas.gujarat.gov.

ગુજરાત સમાચાર 5 Feb 2026 8:07 pm

રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડી:એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડતા એરપોર્ટ પર 200 મુસાફરોએ હાલાકી ભોગવી

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ હતી. 5 ફેબ્રુઆરીની સવારની એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી. જેને કારણે દિલ્હીથી રાજકોટ આવતા અને રાજકોટથી દિલ્હી જવા માંગતા 200 થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા ટેકનિકલ ખામીને લીધે ફ્લાઇટ મોડી પડી હોવાનું કરણ આપવામાં આવ્યું હતુ. મળતી વિગતો મુજબ આજે સવારે એર ઈન્ડિયાની AIC 885 નંબરની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટ સવારે 7.30 ને બદલે 10.29 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી. જેને કારણે દિલ્હીથી રાજકોટ આવવા માંગતા 100 જેટલા હવાઈ મુસાફરોને ત્રણ કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું. જેના કારણે મુસાફરો અકળાઈ ગયા હતા. દિલ્હીથી રાજકોટની ફ્લાઈટ મોડી આવતા રાજકોટ થી દિલ્હી જતી ફ્લાઇટ પણ મોડી પડી હતી. રાજકોટ થી દિલ્હીની સવારે 10ઃ10 કલાકે ઉડાન ભરતી એઆઈસી-886 ફલાઈટ બપોરે 12.58 વાગ્યે ટેક ઓફ થઈ હતી. ફલાઈટ ડીલે થતા મુસાફરોએ ટર્મિનલમાં જ સમય વિતાવવો પડયો હતો.ટેકનીકલ કારણોસર એર ઈન્ડિયાની સવારની દિલ્હી- રાજકોટ- દિલ્હી ફલાઈટ 3 કલાક મોડી પડતા 100 જેટલા મુસાફરોએ એર ઇન્ડિયા એર લાઇન્સ સામે રોસ ઠાલવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:06 pm

સરકારી કર્મચારીઓની આંખોના આરોગ્ય માટે માંગ:27 ઇંચ મોનિટર અને Eye-Friendly સિસ્ટમ માટે સરકારને રજૂઆત

રાજ્ય સરકારના સચિવાલય અને વિવિધ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સચિવાલય ફેડરેશને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. ફેડરેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને Eye-Friendly મોનિટર અને સરકારી કચેરીઓ માટે ન્યૂનતમ સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર કન્ફિગરેશનની સ્પષ્ટ નીતિ ઘડવાની માંગ કરી છે. ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ડિજિટલ ગવર્નન્સના યુગમાં સચિવાલય અને સરકારી કચેરીઓમાં મોટાભાગનું કામ સંપૂર્ણપણે કમ્પ્યુટર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આધારિત બની ગયું છે. e-સરકાર, કર્મયોગી પોર્ટલ, SWAGAT, iGOT કર્મયોગી સહિતના ડિજિટલ પ્લેટફોર્મ પર સતત કામ કરવાના કારણે કર્મચારીઓને લાંબા સમય સુધી સ્ક્રીન સામે કામ કરવું પડે છે. રજુઆતમાં જણાવાયું છે કે ઘણી કચેરીઓમાં હાલ ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર અને મોનિટર જૂની ટેકનોલોજી આધારિત છે, જે આંખો અને આરોગ્ય માટે અનુકૂળ નથી. તેના પરિણામે આંખોમાં બળતરા, માથાનો દુખાવો, આંખોમાં થાક, દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ જેવી તકલીફો વધી રહી છે, જે કામની કાર્યક્ષમતા અને ઉત્પાદનક્ષમતાને પણ અસર કરે છે. ફેડરેશને સરકારને ચાર મુખ્ય માંગણીઓ કરી છે. જેમાં તમામ કર્મચારીઓ માટે Anti-glare, Flicker-free, Low Blue Light ટેકનોલોજી સાથેના Eye-Friendly મોનિટર ઉપલબ્ધ કરાવવાની, ઓછામાં ઓછા 27 ઇંચના મોનિટર સ્ક્રીન સાઇઝ નક્કી કરવાની, સરકારી કચેરીઓ માટે ન્યૂનતમ સ્ટાન્ડર્ડ હાર્ડવેર કન્ફિગરેશન અમલમાં મૂકવાની અને સમગ્ર રાજ્યમાં સમાન રીતે તબક્કાવાર અમલ કરવાની માંગ સામેલ છે. ફેડરેશનનું માનવું છે કે આવી નીતિ અમલમાં આવશે તો સરકારી કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ થશે તેમજ પ્રશાસનિક કામગીરીની ગુણવત્તા, કાર્યક્ષમતા અને સમયબદ્ધતા પણ વધશે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર તમામની નજર ટકી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:03 pm

કેન્દ્રીય બજેટથી ગુજરાતને મલ્ટી-સેક્ટર લાભ:મુખ્યમંત્રીએ કહ્યું- ગ્રામથી લઇ ગિફ્ટ સિટી સુધીના તમામ ક્ષેત્રોનો સર્વગ્રાહી વિકાસ, ગુજરાત વિકસિત ભારત માટે લીડ લેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત માટેનો ક્વોન્ટમ જમ્પ ગણાવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, આ બજેટ ત્રણ મુખ્ય કર્તવ્યો આર્થિક વૃદ્ધિને વેગ આપતું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ દ્વારા જનભાગીદારી અને ‘સૌના સાથ સૌનો વિકાસ’ના આધાર પર દેશના ભવિષ્યની મજબૂત પીઠિકા તૈયાર કરે છે. ગ્રામ વિકાસથી લઇ ગિફ્ટ સિટી સુધીના તમામ ક્ષેત્રોને સર્વગ્રાહી વિકાસમુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ બજેટ આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, ગ્રામ વિકાસથી લઇને ગિફ્ટ સિટી સુધીના તમામ ક્ષેત્રોને સર્વગ્રાહી વિકાસ સાથે આવરી લેતું આ બજેટ ગુજરાત માટે વિશેષ લાભદાયક સાબિત થશે. ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે વધુ મજબૂત બનશેગિફ્ટ સિટીમાં ટેક્સ હોલીડેને 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવાની જાહેરાતને આવકારતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નિર્ણયથી રોકાણકારો વધુ વિશ્વાસ સાથે લાંબા ગાળાના રોકાણ માટે આગળ આવશે અને ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે વધુ મજબૂત બનશે. કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટર માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમનો લાભ ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને મળશે. ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધશેટેક્સટાઇલ સેક્ટર માટે જાહેર કરાયેલી 6 યોજનાઓ રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ આપશે. રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની રીઢ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘ચેમ્પિયન MSME’ માટે જાહેર કરાયેલા 10 હજાર કરોડના SME ફંડથી લિક્વિડિટી વધશે અને નાના ઉદ્યોગોને સીધો ફાયદો મળશે. સેમિકન્ડક્ટર મિશન 2.0થી ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વધુ મજબૂત રીતે આગળ વધશે. રાજ્યના વેપાર-ઉદ્યોગને ઝડપી લોજિસ્ટિક્સ સપોર્ટ મળશેપીએમ ગતિશક્તિ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના વિસ્તરણથી રાજ્યના વેપાર-ઉદ્યોગને ઝડપી લોજિસ્ટિક્સ સપોર્ટ મળશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું. ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન તરીકે વિકસાવવાની જાહેરાતથી નાના શહેરોના વિકાસને પણ વેગ મળશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર થતા ગુજરાતને ખેલો ઇન્ડિયા મિશનથી રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળશે. સાથે જ 16માં નાણાં પંચ અંતર્ગત ગુજરાતનું સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48 ટકાથી વધારીને 3.75 ટકા કરવામાં આવતા રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ઊંચાઈ મળશે. શાળાઓ-કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવાની જાહેરાતયુવાનો માટે AVGC સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાની યોજના અને શાળાઓ-કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવાની જાહેરાતથી ગુજરાતના યુવાનો માટે રોજગારના નવા દ્વાર ખુલશે તેમ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો. અંતમાં તેમણે કહ્યું કે, આ વિકાસલક્ષી બજેટથી ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડ સાથે ગુજરાત વિકસિત ભારત માટે લીડ લેશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 8:01 pm

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Today Gold and Silver Rate in MCX : છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિંટ બુકિંગમાં વધારો થયો છે, જેના કારણે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ જોવા મળી છે. ચાંદીના ભાવમાં રૂ.

ગુજરાત સમાચાર 5 Feb 2026 8:00 pm

Editor's View: અંધારી રાત, બંધ CCTV ને અંધાધૂંધી:ગદ્દાફીના દીકરાને ઘરમાં ઘુસીને પતાવી દીધો, સત્તા અને તેલના કૂવાઓ આડેનો કાંટો કાઢી નાખ્યો, જાણો તાનાશાહીના કિલ્લાનાં પતનની કહાની

લિબિયાના ત્રિપોલીની એ કાળી ડિબાંગ રાત. સન્નાટાને ચીરતી ગોળીઓનો અવાજ અને એક એવો લોહિયાળ અંજામ, જેણે આખા વિશ્વને હચમચાવી દીધું! કાવતરું એટલું સચોટ હતું કે ક્ષણવારમાં જ હાઈ-સિક્યોરિટી ઝોનના સીસીટીવી કેમેરા રહસ્યમય રીતે બંધ થઈ ગયા. અંધારાના ઓથાર હેઠળ અચાનક ગોળીઓ વરસી અને લિબિયાના ક્રૂર તાનાશાહ મુઅમ્મર ગદ્દાફીના છેલ્લા વારસદારનું શરીર સેકન્ડોમાં જ ચાળણી થઈ ગયું. ગદ્દાફીના એ પુત્રના શ્વાસ ત્યાં જ થંભી ગયા. જે એક સમયે ફરીથી સત્તાના શિખરે બેસવાના સપના જોતો હતો. જે રીતે વર્ષો પહેલાં તેના પિતાને ગટરની પાઇપમાંથી ખેંચીને સરેઆમ મોતને ઘાટ ઉતારાયા હતા, એ જ કરૂણતા આજે ઇતિહાસે 15 વર્ષ બાદ ફરી દોહરાવી છે. લોહીથી લથબથ એ લાશ માત્ર એક વ્યક્તિની નથી, પણ ગદ્દાફી સામ્રાજ્યના આખરી કિલ્લાના પતનની ગવાહી છે. સત્તાના આ શતરંજમાં કોણે અસલી ચાલ ચાલી? કોણે ગદ્દાફીના પુત્રની સોપારી આપીને હત્યા કરાવી? બધુ જ જાણીશું અને જો તમને એમ લાગતું હોય કે આફ્રિકાના કોઈ ખૂણે એક તાનાશાહનો દીકરો મર્યો તેમાં આપણને શું? તો જાણવું જોઈએ કે જ્યારે લિબિયામાં સત્તા જમાવવા કે તેલના કૂવાઓ પર કબજો જમાવવા ગોળીઓ છૂટે છે, ત્યારે તેની અસર વિશ્વના તેલ બજારમાં થાય છે. નમસ્કાર.... લિબિયામાં અત્યારે મિલિશિયાઓ વચ્ચે રાજનીતિ અને સત્તા માટે ઝઘડો ચાલી રહ્યો છે. પણ તે બંને કઠપુતળિઓ છે, પડદા પાછળ બે મોટી સ્થાનિક આર્થિક સત્તાજૂથો છે. લિબિયામાં બે પરિવાર એટલે કે હફતાર અને દ્વેઈબાહ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. જેમાં ગદ્દાફીના દીકરા સૈફ અલ ઈસ્લામ કાંટા સમાન હતો, જેને હવે રસ્તા પરથી હટાવી દેવાયો છે. પિતા જેવો જ કરૂણ અંજામ મંગળવારે 3 ફેબ્રુઆરીની રાતે અઢી વાગ્યે લિબિયાના તાનાશાહ ગદ્દાફીના 53 વર્ષના દીકરા સૈફ અલ ઈસ્લામને ચાર બુકાની ધારીઓએ કેમેરા બંધ કરી, ગોળીઓનો વરસાદ કરીને પતાવી દીધો છે. 2017માં મિલિશાયા કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તે લિબિયાના ઝિનતાનમાં રહેતા હતા ત્યાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ગદ્દાફી બાદ તેમના દીકરાની પોપ્યુલારિટી ખૂબ વધી રહી હતી અને લિબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. અગાઉ કહ્યું તેમ, ગદ્દાફીનો દીકરો બે પાર્ટી વચ્ચે મોટો ખતરો હતો. આ હત્યા કોણે કરાવી તે મામલે લિબિયાના એટર્ની જનરલે ફોરેન્સિક એક્સપર્ટ અને પોલિસ સાથે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ અમેરિકા કે યુરોપ જવાબદાર? જે રીતે હત્યા કરવામાં આવી તે મામલે એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે કોઈ પ્રોફેશનલને સોપારી આપીને આ કામ કરવામાં આવ્યું હોય શકે છે. આ ઘટનામાં કોઈ સાક્ષી નથી, કોઈ ફુટેજ નથી... હતું તો લોહીથી લથબથ પડેલું મડદું. જાણીને નવાઈ લાગશે પણ તેના પિતાનું આજથી 15 વર્ષ પહેલા આવી જ રીતે ટોળાએ ગટરમાંથી પકડીને હત્યા કરી હતી. હવે જાણીએ કોણ હતો સૈફ અલ ઈસ્લામ ગદ્દાફી. આ ગદ્દાફીના પરિવારના ઈતિહાસ અને સત્તાનો ખાતમો છે. તેમના પિતા ગદ્દાફીનું નામ તો આપણે સૌએ સાંભળ્યું જ હશે. તેમનો પણ સાદો પરિચય મેળવીએ. પેરિસની સિક્રેટ મીટિંગ અને હત્યાનું કનેક્શન ગદ્દાફીના પૂરા પરિવારનો એક બાદ એક ખાતમો કેવી રીતે કરી દેવામાં આવ્યો તેની ચર્ચા પછી કરીશું, પહેલા વાત કરીએ એ મિટિંગની જે આ હત્યાનું કારણ માનવામાં આવી રહી છે. વાત એમ છે કે ગદ્દાફીના દીકરાના મોતના 6 દિવસ પહેલા પેરિસના એલિસી પેલેસમાં એક સિક્રેટ હાઈલેવલની બેઠક થઈ હતી. જેમાં ફ્રાન્સ, અમેરિકા, લિબિયાના લશ્કરી વડાના દીકરા સદ્દામ હફ્તાર અને ત્રિપોલીના વડાપ્રધાનના સલાહકાર ઈબ્રાહીમ દ્વેઈબાહ હાજર હતા. સત્તાના શતરંજમાં લિબિયાના બે મોટા પક્ષો મીટિંગનો પ્લાન હતો કે જોઈન્ટ સરકાર બનાવવામાં આવે અને ઓઈલની વહેંચણી કરવામાં આવે. ગદ્દાફીનો દીકરો જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ શક્ય ન હતું. કારણ કે ગદ્દાફીના દીકરા પાસે લશ્કર ન હતું પણ તેના નામ પાછળ ગદ્દાફી અટક લાગતી હતી. ઉપરથી 2011માં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારી સમયે તેમને જે પોપ્યુલારિટી મળી હતી તેનાથી પૂર્વ અને પશ્ચિમના વિદેશી નેતાઓ ડરી ગયેલા હતા. જો ચૂંટણી થાત તો સૈફ એટલે કે ગદ્દાફીનો દીકરો જીતે તેવી શક્યતા હતી. અને મીટિંગના છઠ્ઠા દિવસે સમાચાર આવ્યા કે ગદ્દાફીના દીકરાની હત્યા કરી દેવામાં આવી છે. ચૂંટણી અને લોકપ્રિયતા હત્યા પાછળનું કારણ? કહેવામાં આવી રહ્યું છે કે ગદ્દીફીના દીકરાની હત્યા પછી સત્તા માટે બે જ દાવેદારો બચ્યા છે. દ્વેઈબાહ પરિવાર અને હફ્તાર પરિવાર. બંને વિપક્ષની મદદ વગર સત્તા પણ મેળવી શકે છે અને ઓઈલની વહેંચણી પણ કરી શકે છે. પણ એક સવાલ થાય કે આ તો અરબના દેશોની અંદરોઅંદરની મેટર છે આપણે શું? તો એ રીતે તો અમેરિકા અને ફ્રાન્સને પણ કંઈ લેવાદેવા ન હોવા જોઈએ? છતાં પણ પેરિસમાં મીટિંગ કરીને? તો વાત કરીએ આરબમાં કે લિબિયામાં કંઈ થાય તેની આપણને શું અસર પડે. ગદ્દાફીના દીકરાની હત્યાથી ભારતને શું અસર? દુનિયાના સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોમાં લિબિયાનો નંબર 9મો છે. પણ પ્રોડક્શનમાં 17મો નંબર છે. આપણે લિબિયા પાસેથી નહીંવત તેલ એટલે કે આપણા દેશમાં આવતા ટોટલ ક્રુડ ઓઈલમાંથી 0.5 ટકા જ હિસ્સો લિબિયન ક્રુડ ઓઈલનો છે. પણ લિબિયા પાસે 48 બિલિયન બેરલ ક્રુડ ઓઈલ રિઝર્વ છે તે ન ભૂલવું જોઈએ. રશિયાના વધતા પ્રભાવને રોકવા હત્યા? બીજી બાજુ, યુરોપ અને અમેરિકાને રશિયન ઓઈલના ઓપ્શનમાં લિબિયન ઓઈલ જોઈએ છે. જે લિબિયામાં સ્ટેબલ સરકાર વગર શક્ય નથી. ઉપરથી લિબિયામાં રશિયાનું વેગનર ગ્રુપ એક્ટિવ છે. પાકિસ્તાનના મુનીર જેમ ચીનથી નજીક છે તેમ ગદ્દાફીનો દીકરો સૈફ રશિયાથી નજીક હતો. વેસ્ટ એ જરા પણ સહન ન કરતું કે લિબિયામાં તેમના પ્રભાવની જગ્યાએ રશિયાનો પ્રભાવ વધે. માટે હવે આરબ દેશોની ખાડીમાંથી દુનિયાનું તેલ પસાર થાય છે તે વેપારી માર્ગમાં સ્થિરતા વધશે કે અસ્થિરતા તેના પર ગુજરાતી નજર રાખવી પડશે. ગદ્દાફીની માળાનો અંતિમ મણકો તૂટ્યો હવે વાત કરીએ કે કેવી રીતે ગદ્દાફીના પરિવારનો એકબાદ એક સફાયો થયો. એક સમયે ગદ્દાફી પરિવાર પૂરા ઉત્તર આફ્રિકા પર રાજ કરતો હતો. ગદ્દાફી આફ્રિકન યુનિયનના ચેરપર્સન હતા. પણ સૈફની હત્યા પછી ગદ્દાફી પરિવારની માળાનો છેલ્લો એક્ટિવ મણકો પણ ફૂટી ગયો. ગદ્દાફી પરિવારનો સફાયો સત્તાના મેદાનમાં હવે માત્ર બે જ ખેલાડી હવે લિબિયામાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની પણ વાત કરીએ. કારણ કે તેના વગર લિબિયાની સિવિલ વોર સમજી શકાય તેમ નથી. 2011માં ગદ્દાફીના પતન પછી લિબિયા અસ્થિર છે અને બે ભાગમાં વહેંચાયેલું છે. બે ભાગમાં વહેંચાયેલું લિબિયા: પૂર્વ વિરુદ્ધ પશ્ચિમ આતંકી સંગઠનોનો ખતરો અને અસ્થિરતા લોકશાહી કે બંદૂકશાહી? લિબિયાનું ધૂંધળું ભવિષ્ય વર્લ્ડ મીડિયામાં અત્યારે કહેવાઈ રહ્યું છે કે તાનાશાહ વંશનો અંત એ લોકશાહી માટે સારો સંકેત છે પણ સામે એવો પણ સવાલ ઉભો થાય કે બંદૂકના સહારે લોકશાહી મળે તો બેલેટનું શું કામ છે? ટૂંકમાં સૈફની હત્યા બાદ સ્થિર સરકાર રહેશે કે નહીં તે મોટો સવાલ છે. સૈફની હત્યા પછી ગદ્દાફી વફાદારો ગુસ્સામાં છે જે વિરોધ પ્રદર્શન પણ કરી શકે છે અથવા તેલની પાઈપલાઈન પણ બ્લોક શકે છે. એવું પણ બની શકે કે ચૂંટણી બાદ લાંબા ગાળાની લોકતાંત્રિક પણ હિટલરશાહીવાળી સરકાર રહી શકે છે. લિબિયાની પરિસ્થિતિનો ઈતિહાસ જોતા લાગી રહ્યું છે કે લિબિયા કાગળ પર એક રહેશે પણ પૂર્વ અને પશ્ચિમ પરિવારના નાના-મોટા ઝઘડાઓ ચાલુ રહી શકે છે. એવું પણ બની શકે કે બંને પોત-પોતાના વિસ્તારોમાં રાજાની જેમ રાજ પણ કરી શકે. એકબાજુ રશિયા અને આરબ દેશો લિબિયામાં પગપસેરો અને પ્રભાવ વધારવાના પ્રયાસો ચાલુ રાખશે અને બીજી બાજુ અમેરિકા અને યુરોપ પોતાની ડોમિનેન્સી વધારવાના પેંતરા ચાલુ રાખશે. ભારતની ક્રુડ ડિપ્લોમસી અને લિબિયાના સંબંધો હવે વાત ભારતની... કારણ કે ગમે તે થાય ભારતની તેલ ડિપ્લોમસી ચાલુ જ રહેવાની છે. કારણ કે આપણે વિદેશ નીતિમાં હંમેશા સ્ટેબલ રહ્યા છીએ અને કોઈ ગ્રુપ્સનો ભાગ બનવાનું ટાળ્યું છે. ગયા વર્ષના નવેમ્બરમાં ડો. હિફઝુર રહેમાનને લિબિયાના ભારતીય રાજદૂત બનાવીને આપણે મેસેજ આપી દીધો છે કે ભારત લિબિયાની સ્ટેબિલિટી તરફ છે. જુલાઈ 2024માં આપણે ત્રિપોલીમાં ફરીથી આપણી એમ્બેસી શરૂ કરી છે. રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરીને આપણે લિબિયા પાસેથી તેલ લેવાનું ધીમેધીમે વધાર્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં દિલ્લીમાં યોજાએલી બીજી ભારત આરબ બેઠકમાં આપણા વિદેશમંત્રી એસ જયશંકરે લિબિયામાં શાંતિ અને વાતચીત પર જોર આપ્યું હતું. હવે ગદ્દાફીના દીકરાની હત્યા બાદ ભારતની ક્રુડ ડિપ્લોમસીમાં કેવો વળાંક આવશે તે જોવાનું રહેશે. ગુજરાતી વેપારીઓ અને શેરબજાર પર અસર કોઈ પણ વ્યક્તિનો જીવ જાય તે માનવતા માટે દુઃખદ છે પણ આપણે ગુજરાતમાં છીએ એટલે તેની અસર માર્કેટ પર કેવી પડી હતી તે જાણવાની ઉત્સુકતા હોય છે. ગુજરાતના વેપારીઓને જાણવું જરૂરી બને છે કે લિબિયા ભૂમધ્ય સમુદ્રના કિનારે છે, જે સુએઝ કેનાલના વેપારી માર્ગથી નજીક છે. ત્યાં કંઈ થાય તો દરિયાઈ માર્ગોના વેપાર પર અસર પડે અને વાત આરબની થઈ રહી છે તો પેટ્રોલ-ડીઝલ અને માર્કેટ પર પણ પડે. એવામાં તેલનો ભાવ વધે તો ડોલર સામે રૂપિયો નબળો પડે અને રૂપિયો નબળો પડે એ વેપારીઓ અને સામાન્ય નાગરીકો માટે મોંઘવારીનો મેસેજ છે. 3 ફેબ્રુઆરીએ ગદ્દાફીના દીકરાના મોતના સમચાર કન્ફર્મ થયા બાદ ભારત અને વિશ્વના શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. અગેઈન! કારણ કે વાત તેલ માર્ગ અને ક્રુડ ઓઈલવાળા દેશની છે. ગઈકાલે શેરબજારમાં 500 પોઈન્ટ અને નિફ્ટીમાં 50 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે 3 ફેબ્રુઆરીએ પ્રતિ બેર ક્રુડ ઓઈલના ભાવ 70 ડોલરથી ઉપર પહોંચ્યા હતા જો કે ગઈકાલે ફરી 68 ડોલર પ્રતિ બેરલ નીચે આવી સ્થિર થઈ ગયા હતા. ગદ્દાફીના દીકરાની હત્યા બાદ માર્કેટ ગબડ્યું હતું પણ ગઈકાલે અને આજે ફરી સ્ટેબિલિટી જોવા મળી હતી. ટૂંકમાં નાના એવા દેશ લિબિયામાં પણ કંઈ થાય તો દલાલ સ્ટ્રીટમાં ઓઈલ કંપનીઓના શેર તૂટે છે. અને છેલ્લે... હાલ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોવાલ અમેરિકા મુલાકાતે છે. જયશંકરે રાજદૂત સર્જિયો ગોર અને ડોવાલે વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે બેઠક કરી હતી. બ્લૂમબર્ગ મુજબ ડોભાલે ભારત તરફથી અમેરિકાને ચોખ્ખું કહી દીધું હતું કે, ભારત અમેરિકા સાથે થઈ રહેલી ખટપટને ઓછી કરવા માગે છે અને ફરીથી ટ્રેડ ડિલ પર વાત કરવા માગે છે. અને કહ્યું હતું કે ભારત કોઈ પણ પ્રકારના દબાણમાં આવશે નહીં. જો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ કડક વલણ અપનાવે છે, તો ભારત પણ ટ્રમ્પ સરકારની ટર્મ પૂરો થવાની રાહ પણ જોઈ શકે છે. ભારતે આ પહેલા પણ અમેરિકાની મુશ્કેલ સરકારોનો સામનો કર્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:59 pm

28 રાજ્યમાં 930 કરોડનું ફ્રોડ, ગાંધીનગર સાયબર સેલનો મોટો ખુલાસો:80 બેંક ખાતા અને Forex Pre-paid Cardsથી દુબઇ નાણા ટ્રાન્સફર કરતા; પાંચ આરોપીની ધરપકડ

ગાંધીનગર સ્થિત CID ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં દેશવ્યાપી સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. અત્યાર સુદીમાં 930 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે દેશના 28 રાજ્યોમાં કુલ 1,535 ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. Forex Pre-paid Cardsથી દુબઇ નાણા ટ્રાન્સફર કરતાતપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ સુરત સહિતના વિસ્તારોમાંથી કામગીરી ચલાવતા હતા. ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડમાં ખુલ્યું કે ગેંગ દ્વારા અલગ-અલગ લોકોના નામે બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં આવતી હતી. બાદમાં આ રકમ Forex Pre-paid Cards મારફતે દુબઇના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, UPI સહિત પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડCID ક્રાઇમના અધિકારીઓ મુજબ આરોપીઓ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ, ડિપોઝિટ અને લોન ફ્રોડ તેમજ પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ જેવી પદ્ધતિઓ અપનાવતા હતા. એસએમએસ, વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ બનાવી લોકોને ફસાવવામાં આવતા હતા. સાયબર ફ્રોડમાં 80 અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગઆ કેસમાં અત્યાર સુધીમાં 80 જેટલા અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ વધુ કમાણીની લાલચ આપી નિર્દોષ લોકો પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી લેતા હતા, જેથી પોતાની ઓળખ છુપાવી શકાય. પોલીસે પાંચ આરોપીની ધરપકડપોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વેરાવળ, અમદાવાદ અને થાણે (મુંબઈ)ના રહેવાસીઓનો સમાવેશ થાય છે. CID ક્રાઇમ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અને નાણાંની હેરફેરના રસ્તાઓ અંગે વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં વધુ ધરપકડ અને ખુલાસા થવાની શક્યતાપોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ સંજોગોમાં પોતાના બેંક ખાતાની વિગતો અન્યને ન આપવી જોઈએ, કારણ કે ખાતામાં થતી નાણાકીય ગતિવિધિ માટે ખાતાધારક પોતે જવાબદાર ગણાય છે. આ કેસમાં આગળ વધુ ધરપકડ અને ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:48 pm

સુત્રાપાડામાં ગેરકાયદેસર ખનિજ વહન કરતા 4 ટ્રેક્ટર ઝડપાયા:તંત્રએ રૂ. 28 લાખની વસૂલાત કરી, કડક કાર્યવાહી ચાલુ રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન રોકવા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સુત્રાપાડા અને વેરાવળ મામલતદારની સંયુક્ત ટીમે ઘંટીયા ફાટક નજીક તપાસ કરી હતી. આ દરમિયાન બિલ્ડીંગ લાઇન સ્ટોન ખનિજનું ગેરકાયદેસર વહન કરતા ચાર ટ્રેક્ટર ઝડપાયા હતા. તંત્રની કાર્યવાહીમાં નિયમ મુજબ કુલ રૂ. 28 લાખની વસૂલાત કરવામાં આવી છે. ઝડપાયેલા ટ્રેક્ટર અને મુદ્દામાલને વધુ કાયદેસર કાર્યવાહી માટે ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. સરકારી આવકને નુકસાન પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:42 pm

હિંમતનગરમાં રોલ ઓબ્ઝર્વરની બેઠક યોજાઈ:મતદારયાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા, હક્ક-દાવા અરજીઓ પર માર્ગદર્શન

ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 28 ઓક્ટોબર, 2025થી શરૂ થઈ વિવિધ તબક્કાઓના અંતે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે. આ કાર્યક્રમ અંતર્ગત, સાબરકાંઠા જિલ્લાના રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ ડૉ. ટી. નટરાજને આજે જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે હિંમતનગરની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ થયેલી કામગીરી તેમજ SIR (Special Summary Revision) દરમિયાન મળેલ હક્ક-દાવા અને વાંધા અરજીઓ (ફોર્મ નં. 6, 7, 8)ની સમીક્ષા કરવામાં આવી હતી. ડૉ. નટરાજને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓ અને પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:41 pm

અમદાવાદથી શારજાહની વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટ:એર અરેબિયા બાદ સ્પાઈટ જેટની ફ્લાઈટનો પ્રારંભ, અઠવાડિયામાં 5 દિવસ ચાલશે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે યાત્રીઓને શારજાહ માટે વધુ એક ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધા મળી છે. સ્પાઈસજેટ એરલાઈન્સ દ્વારા અમદાવાદથી શારજાહ માટેની સીધી ફ્લાઇટનો આજે ભવ્ય રીતે શુભારંભ કરવામાં આવ્યો. આ અવસરે એરપોર્ટ પર પરંપરાગત દીપ પ્રગટાવી અને કેક કટિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પહેલા મુસાફરોને પહેલો બોર્ડિંગ પાસ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ફ્લાઈટ મળશેશહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મુસાફરો માટે વધુ એક આંતરરાષ્ટ્રીય સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાણીતી એરલાઇન્સ કંપની સ્પાઈસજેટ (SpiceJet) દ્વારા આજથી 5 ફેબ્રુઆરી, 2026થી અમદાવાદ અને શારજાહ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે સ્પાઈસજેટે અઠવાડિયામાં 5 દિવસ (સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર) આ સેવા ઉપલબ્ધ કરાવી છે. ફ્લાઇટ નંબર SG095 અમદાવાદથી શારજાહ સવારે 08:50 વાગ્યે ઉપડશે અને સવારે 11:00 વાગ્યે શારજાહ પહોંચાડશે. જ્યારે SG096 શારજાહથી બપોરે 12 કલાકે (શારજહાના સમય મુજબ) ઉપડશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. અમદાવાદીઓ માટે શારજાહની મુસાફરી વધુ સરળશારજાહના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને માણવા માંગતા પ્રવાસીઓ માટે આ સીધી ફ્લાઈટ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ નવી સેવાને કારણે ગુજરાત અને UAE વચ્ચે વેપાર અને પર્યટન ક્ષેત્રે નવા દ્વાર ખુલશે. હવે અમદાવાદીઓ માટે શારજાહની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:39 pm

લુણાવાડામાં PSI ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા:નશામાં કાર ચલાવી એક વ્યક્તિને અડફેટે લીધો, જિલ્લા પોલીસવડાએ તાત્કાલ સસ્પેન્ડ કર્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કાયદાના રક્ષક PSI એચ.જી. ખરાડીએ દારૂના નશામાં પોતાની કાર ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા પોલીસવડા સફિન હસને PSI ખરાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના લુણાવાડા-ગોધરા હાઈવે પર ભાયાસર ગામ પાસે બની હતી. PSI ખરાડીએ પોતાની કારથી એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે તેને પગમાં ઈજાઓ થઈ હતી. નશામાં ધૂત PSIએ ત્યાંથી પસાર થતી એક સફેદ રંગની ફોર-વ્હીલર ગાડીને પણ અડફેટે લીધી હતી. DYSP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મહીસાગર પોલીસ હેડ ક્વાર્ટરની QRD શાખામાં ફરજ બજાવતા PSI એચ.જી. ખરાડી પોતાની મહિન્દ્રા KUV ગાડી પૂર ઝડપે અને નશાની હાલતમાં ચલાવી રહ્યા હતા. 112 નંબર પર જાણ થતાં લુણાવાડા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને PSIની ધરપકડ કરી હતી. લુણાવાડા પોલીસે PSI વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસવડા દ્વારા PSIને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, PSIનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ કડક પગલાંથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:39 pm

પાટણ ડેવલપમેન્ટ પ્લાન 2041 પર બેઠક યોજાઈ:નગરપાલિકા કોર્પોરેશન બનવાની શક્યતા વચ્ચે નવા ઝોનિંગ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા

પાટણના ડેવલપમેન્ટ પ્લાન 2041માં સુધારા-વધારા અને સૂચનો મેળવવા માટે ક્રેડાઈ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2041 સુધીની પાટણની પરિસ્થિતિ અને શહેરના ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાટણ શહેરની વર્તમાન વસ્તી આશરે 2.75 લાખ સુધી પહોંચી ગઈ છે. વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને, આગામી સમયમાં પાટણ નગરપાલિકાનું કોર્પોરેશનમાં રૂપાંતર થઈ શકે છે. આ સંભાવના બેઠકમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતી. જો પાટણ કોર્પોરેશન બને તો જમીન કપાતના નિયમોમાં ફેરફાર થશે અને કપાતનું પ્રમાણ વધશે, જેનાથી જમીન મોંઘી થવાની શક્યતા છે. બિલ્ડરો દ્વારા રજૂ કરાયેલા દૃષ્ટિકોણ મુજબ, જમીનના ભાવ સસ્તા રહે અને બિલ્ડિંગ વ્યવસાય સારી રીતે ચાલી શકે તે જરૂરી છે. ડેવલપમેન્ટ પ્લાન હેઠળ, ઓછા વિકસિત સાંડેસર પાર્ટી વિસ્તારમાં નવા ઝોન નક્કી કરવા અને કયા વિસ્તારોનો સમાવેશ કરવો તે અંગે પણ પરામર્શ થયો હતો. ક્રેડાઈના હોદ્દેદારોએ અમુક વિસ્તારોમાંથી ગ્રીન ઝોન હટાવવા અને બફર ઝોન રદ કરવાની માંગ કરી હતી. જોકે, આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના નિયમોને કારણે બફર ઝોન રદ થવાની સંભાવના ઓછી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત, રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો માટે હવે અલગ-અલગ મિક્સ ઝોનની જરૂરિયાત જણાતી નથી, કારણ કે સરકાર દ્વારા રસ્તાની પહોળાઈના આધારે રહેણાંક ઝોનમાં જ કોમર્શિયલ પરવાનગીઓ આપવામાં આવે છે. પાટણના ભવિષ્યના વિકાસ માટે લોજિસ્ટિક્સ, ફૂડ ઇન્ડસ્ટ્રી અને સરસ્વતી નદીના કિનારે ઇકો-ટૂરિઝમ જેવી શક્યતાઓ પર પણ બિલ્ડર લોબી સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:33 pm

દાહોદમાં ‘સંપૂર્ણતા અભિયાન 2.0’નો શુભારંભ:ગરબાડાને આદર્શ તાલુકો બનાવવા પોષણ, શિક્ષણ, સ્વચ્છતા પર ભાર

દાહોદ જિલ્લાના આદિજાતિ મ્યુઝિયમ ખાતે ‘સંપૂર્ણતા અભિયાન 2.0’નો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યમંત્રી રમેશ કટારાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના સહયોગથી આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ દાહોદ જિલ્લામાં પ્રગતિ અને નવીનતાને વેગ આપવાનો છે. આ અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાને આકાંક્ષી બ્લોકની શ્રેણીમાંથી બહાર લાવી સર્વાંગી વિકાસ સાધવાનો સરકારનો ઉદ્દેશ છે. આ માટે આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 13 તાલુકાઓમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે, ‘સંપૂર્ણતા અભિયાન 2.0’માં દાહોદ જિલ્લો ઉત્કૃષ્ટ કામગીરી સાથે અગ્રેસર બને તે માટે તમામ અધિકારીઓએ સંકલિત પ્રયાસો કરવા જોઈએ. ગરબાડા તાલુકાને આકાંક્ષી બ્લોકમાંથી આદર્શ તાલુકો બનાવવાનો લક્ષ્ય રાખીને મહત્વના સૂચકાંકો પર કેન્દ્રિત કામગીરી કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લાના તમામ વિભાગોની સામૂહિક જવાબદારી છે કે કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા ગરબાડાથી શરૂઆત કરવામાં આવે. ખેતી, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય અને ICDS સહિતના વિભાગોએ પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને પશુ રસીકરણ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણતા હાંસલ કરવી જોઈએ. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી લોકોના આરોગ્યમાં સુધારો આવશે તેમ પણ ઉમેર્યું. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ગરબાડા તાલુકાને આકાંક્ષી બ્લોકની શ્રેણીમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા માટે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને હાકલ કરી. તેમણે જણાવ્યું કે, ‘સંપૂર્ણતા અભિયાન 2.0’નો મુખ્ય હેતુ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડીને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. અભિયાન હેઠળ ICDS વિભાગના ચાર મુખ્ય સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી. આંગણવાડી કાર્યકરોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા તથા તેમની સંભાળ પર ભાર મૂકવામાં આવ્યો. આરોગ્ય ક્ષેત્રે 18 વર્ષથી નીચેના બાળકો અને કિશોરીઓનું હિમોગ્લોબિન પરીક્ષણ કરી કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા જરૂરી પગલાં લેવા પણ સૂચના અપાઈ. શિક્ષણ વિભાગમાં દરેક શાળામાં કુમાર અને કન્યાઓ માટે અલગ શૌચાલય સુવિધા સુનિશ્ચિત કરવા તથા ધોરણ 8માંથી 9માં પ્રવેશ દરમિયાન ડ્રોપઆઉટ ન થાય તે માટે ખાસ કાળજી લેવા તાકીદ કરાઈ. પશુપાલન ક્ષેત્રે 100 ટકા રસીકરણના લક્ષ્યાંક માટે સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોના સક્રિય સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:32 pm

સુરત મનપાની વેરા વસૂલાત ઝૂંબેશ અને મિલકતોનું સીલિંગ:સાઉથ ઝોનમાં 57 મિલકતો સીલ, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 42.05 કરોડની વસૂલાત

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર આજે સાઉથ ઝોન-બી (કનકપુર) માં વેરા વસૂલાતની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વેરો ભરવામાં અનિચ્છા દાખવનારા કરદાતાઓની કુલ 57 મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પાલિકાની આક્રમક રણનીતિને કારણે આજ દિન સુધીમાં આ ઝોનમાંથી કુલ 42.05 કરોડની માતબર વસૂલાત કરવામાં આવી છે. આજે તા. 5 ફેબ્રુઆરી 2026ના રોજ હાથ ધરાયેલી આ ખાસ ડ્રાઈવમાં પાલિકાની ટીમોએ સ્થળ પર જ બાકી વેરાની વસૂલાત પર ભાર મૂક્યો હતો. જેમાં સ્થળ પર રોકડ અને ડ્રાફ્ટ દ્વારા 19.17 લાખ અને એડવાન્સ ચેક દ્વારા 18 લાખ મળીને કુલ 37.17 લાખ ની રકમ વસૂલવામાં આવી હતી. આ આંકડો સૂચવે છે કે સીલિંગની બીકે ઘણા કરદાતાઓએ તાત્કાલિક ધોરણે નાણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી. નોટિસની અવગણના કરનારા એકમો પર ત્રાટકી ટીમપાલિકા દ્વારા અગાઉ વારંવાર નોટિસો મોકલીને વેરો ચૂકવવા માટે જાણ કરવામાં આવી હતી, તેમ છતાં અનેક મિલકતધારકો દ્વારા તેનો પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. પરિણામે, આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને બાકીદારો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મિલકતો સીલ કરવામાં આવી છે, તેમના માલિકોએ હવે દંડ સાથે વેરો ભર્યા બાદ જ મિલકતનો વપરાશ કરી શકશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં 'સ્પેશિયલ રિકવરી ડ્રાઈવ'આ રિકવરી ડ્રાઈવ ખાસ કરીને ઉન અને સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો પર કેન્દ્રિત હતી. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ, પી.એમ. ધમણવાલા, વી.એમ. ધમણવાલા, મીત એન્ડ મીર અને માધવ પાર્ક જેવા વિસ્તારોમાં ટીમોએ સઘન તપાસ કરી હતી. આ ઉપરાંત, સુડા સેક્ટર-1, 2, 3 ના બાકીદારો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં મોટા પાયે બાકી રહેલા વેરાને કારણે પાલિકાએ આ વિસ્તારોમાં વધુ ફોર્સ તૈનાત કર્યો હતો. નળ કનેક્શન કાપવાની કડક ચેતવણીઆગામી દિવસોમાં પાલિકા હજુ વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. વસૂલાત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો હજુ પણ વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવશે, તો મિલકત સીલ કરવા ઉપરાંત રહેણાંક અને વ્યાવસાયિક એકમોના નળ કનેક્શન કાપવા જેવી આકરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આથી તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાનો વેરો ભરીને આવી કડક કાર્યવાહીથી બચે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:31 pm

આણંદમાં આંગણવાડી વર્કરોએ ધરણા કરી રેલી કાઢી:ઓછા વેતન અને વધતા કામના બોજ સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આણંદ શહેરના શાસ્ત્રીબાગ ખાતે ગુરુવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ધરણાં યોજી રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિતના નેતૃત્વમાં થયું હતું. શાસ્ત્રી મેદાન ખાતે ધરણાં યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રીબાગથી ગુરુદ્વારા સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ સંગઠનની આગેવાન મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે આંગણવાડી મહિલા વર્કરો વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓના અમલ જેવા મહત્વપૂર્ણ કાર્યો ઓછા વેતન અને ભારે કામના બોજ સાથે કરી રહી છે. તેમ છતાં, તેમને આજની મોંઘવારીને અનુરૂપ વેતન મળતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર એપ, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, એફઆરએસ અને ઓટીપી જેવી કામગીરીને કારણે વર્કરોના અંગત મોબાઈલ પર ભારે ભાર પડે છે. એપ આધારિત કામગીરીથી યોજનાની મુખ્ય સેવાઓ અને બાળકોના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે, તેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. સંગઠન દ્વારા આગામી રાજ્ય બજેટમાં હાઇકોર્ટના હુકમ મુજબ વેતન વધારો, નિયમિત કર્મચારીનો દરજ્જો, પેન્શન અને સામાજિક સુરક્ષા લાભો, નવા મોબાઈલની વ્યવસ્થા, મોબાઈલ ઇન્સેન્ટિવ નિયમિત આપવા તેમજ રજીસ્ટર પદ્ધતિ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોના આહાર દરમાં વધારો, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી અને એક વખત જિલ્લા-તાલુકા ફેરબદલીની તક આપવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા વર્કરો હાજર રહી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:22 pm

મેંદરડા તા.પં.માં ડો. આંબેડકરની પ્રતિમા મુદ્દે વિવાદ:'હું કોઈની છબી મારી ઓફિસમાં લગાડતો નથી': અધિક મદદનીશ ઇજનેર; અનુસૂચિત જાતિ સમાજનું ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આહ્વાન

મેંદરડા તાલુકા પંચાયતમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી દિવાલ પરથી હટાવવાના મામલે ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર અને અન્ય સ્ટાફે પદાધિકારીઓ અને અમુક શખસો પર માનસિક ત્રાસ અને ષડયંત્રના આક્ષેપો કરી જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર પાઠવતા મામલો ગરમાયો છે. આ વિવાદની શરૂઆત એક કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થવાથી થઈ હતી. જેમાં અધિક મદદનીશ ઇજનેર વિશાલ પોકર અને તાલુકા પંચાયત પ્રમુખ પરેશ માંકડિયા વચ્ચેની વાતચીત સાંભળવા મળે છે. ઓડિયોમાં ઇજનેર કહી રહ્યા છે કે તેમની ઓફિસમાં રહેલી બાબાસાહેબની છબી પ્રમુખની ચેમ્બરમાં લગાવી દેવામાં આવે. કારણ કે, તેઓ પોતાની ઓફિસમાં કોઈ જ્ઞાકિ કે વ્યક્તિના ફોટા રાખવા માગતા નથી. આ વાતચીત બાદ દલિત સમાજમાં એવી લાગણી ફેલાઈ કે બાબસાહેબનું અપમાન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને અધિકારી વચ્ચેની વાતચીત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખનું આંદોલન કરવા આહ્વાનસમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ દેવદાન મુછડિયા અને પૂર્વ ચેરમેન જે.ડી. ખાવડુએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, આઝાદીના 78 વર્ષ પછી પણ બાબાસાહેબના નામથી અમુક અધિકારીઓને ઝેર ચડે છે તે દુ:ખદ છે. અધિકારીએ છબી હટાવીને માત્ર સમાજનું જ નહીં પણ બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે. આ અપમાનના વિરોધમાં શુક્રવારે 6 તારીખે સવારે 10:30 વાગ્યે મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે હજારોની સંખ્યામાં એકઠા થઈ શક્તિ પ્રદર્શન કરવા અને કાયદેસરની કાર્વાહી કરવાની માગ સાથે આંદોલનનું આહ્વાન કરવામાં આવ્યું છે. 'ખોટા બિલો પાસ કરાવવાનું ષડયંત્ર': અધિક મદદનીશ ઇજનેરવિવાદના મામલે મેંદરડાના અધિક મદદનીશ ઇજનેર વિશાલ પોકરે ગંભીર વળતો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી તેમની બદલી થઈ ત્યારથી અમુક શખસો દ્વારા ખોટા બિલો પાસ કરવામાં માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે તેમણે કાયદેસર રીતે કામ કરવાની જીદ પકડી ત્યારે તેમને ફસાવવા માટે બાબાસાહેબની છબી સાથે છેડછાડ કરવાનું કાવતરૂં રચાયું હતું. તેમણે ઉમેર્યું કે, છબી સુરક્ષિત રાખવા માટે તેમણે પ્રમુખને જાણ કરી હતી અને વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ અધૂરી છે. તાલુકા પંચાયત કર્મચારીઓ અને તલાટીઓની DDOને રજૂઆતઆ મામલે તાલુકા પંચાયતનો સ્ટાફ પણ અધિકારીના સમર્થનમાં આવ્યો છે. અંદાજે 40થી 45 કર્મચારીઓ અને તલાટીઓએ સામૂહિત સીએલ (CL) મૂકીને DDOને રજૂઆત કરી છે કે છેલ્લા છ વર્ષથી અમુક તત્વો દ્વારા સરકારી કામમાં દખલગીરી અને દાદાગીરી કરવામાં આવે છે. અધિકારીએ પોતાની સુરક્ષા અને ન્યાય માટે મીડિયા સમક્ષ સંપૂર્ણ ઓડિયો ક્લિપ રજૂ કરવાની પણ તૈયાર દર્શાવી છે. આ સમગ્ર મામલે બંને પક્ષો સામસામે મેદાનેહાલ તો આ મામલો બંને પક્ષે ઉગ્ર બન્યો છે. એક તરફ દલિત સમાજ ડો. બાબાસાહેબ આંબેડકરના સન્માન માટે મેદાને પડ્યો છે, તો બીજી તરફ સરકારી કર્મચારીઓ કામમાં દખલગીરી અને તેના પર કરાયા ખોટા આક્ષેપો સામે લડત આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:21 pm

કોન્ટ્રાકટરને 45.70 લાખ વ્યાજે આપી જમીન વેચી દેવાનો મામલો:વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખ અને આંબલા દક્ષિણામુર્તિ શાળાના આચાર્ય સહિત ૩ની અટક ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી હાથ ધરાશે

સુરતના કતારગામમાં રહેતા કોન્ટ્રાક્ટરે બેંક વ્યાજે રૂા. 45.70 લાખ લીધા હતા. જે પેટે ભાવનગરના અધેવાડા ગામે આવેલી તેના પિતાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. બાદમાં યુવકે વ્યાજ સાથે મુદલ પરત કરવાની તૈયારી બતાવી વ્યાજના રૂા.10 લાખ આપ્યા હતા. જો કે આમ છતાં દસ્તાવેજ પરત ન કરી આપી અન્ય મહિલાને જમીન વેચી નાખી અને કોન્ટ્રાક્ટર પાસે રૂા.2.50 લાખની માંગણી કરતા તા.4 ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધાયો હતો. આ મામલે ભરતનગર પોલીસે આજે આંબલા ગ્રામ્ય દક્ષીણામુર્તિ શાળાના આચાર્ય, વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત ત્રણ ભાઈની ધરપકડ કરી લઈ કોર્ટમાં રજુ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારના બ્રહ્મલોક રેસીડેન્સી સામે, ડભોલી રોડ, ઓમ હેરીટેજમાં રહેતા અને કન્ટ્રકશનનો વ્યવસાય કરતા રજનીભાઈ લાલજીભાઈ જાસોલીયાએ ભાવનગર શહેર ભરતનગર પોલીસ મથકમાં વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખ ગોકુળ કરમટીયા (અમદાવાદ), આંબલા ગામ્ય દક્ષિણામૂર્તિ શાળાના આચાર્ય વાઘજી કરમટીયા (આંબલા, સિહોર), ભુપત કરમટીયા(અમદાવાદ), રઘુ સોંડાભાઈ રબારી( સુરત),સામે ફરીયાદ નોંધાવી હતી. ચક્રવૃદ્ધી વ્યાજ ગણી 2.50 લાખ માગ્યા આ ફરિયાદમાં વર્ષ 2018માં ધંધામાં રોકાણ કરવા માટે રઘુ રબારીએ ભુપત કરમટીયા, ગોકુળ કરમટીયા અને વાઘજી કરમટીયા પાસેથી બેન્ક વ્યાજે રૂા.45.70 લાખ વ્યાજે અપાવ્યા હતા. અને તેઓએ તેની સિક્યુરીટી પેટે અધેવાડામાં આવેલી તેના પિતાની જમીનના દસ્તાવેજ કરી આવ્યા હતા. દરમિયાન તેઓ પાસે પૈસાની વ્યવસ્થા થઈ જતા પૈસા પરત આપવા જતા ગોકુળ કરમટિયા એ સિહોરમાં વ્યાજના 10 લાખ તેની પાસે વસુલી લઈ તેઓની જાણ બહાર ફરિયાદી રજનીભાઇના પિતાની જમીન જે સિક્યુરીટી પેટે મુકી હતી, તે વસંતબેન માંગુકીયાને આશરે 1.5 કરોડમાં વેચાણ કરી દઈ ગત તા. 11 ડિસેમ્બર 25ના રોજ સુરતના વરીયાવ પાણીની ટાંકી પાસે બોલાવી ચક્રવૃદ્ધી વ્યાજ ગણી તેઓ પાસે વધુ રૂા. 2.50 લાખની વ્યાજ પેટે માંગણી કરી હતી. તેમજ બળજબરી પુર્વક રૂા.25 હજાર મેળવી લઈ ગોકુળ કરમટીયાએ અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે પીએસઆઈ હોવાની ઓળખ આપી હિસાબ પેટે તારે 2.50 લાખ આપવા પડશે નહિતર ઘરે પહોંચવા નહીં દઈએ તેમ ધાક ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે તમામ સામે બીએનએસ એક્ટ ૩૧૬(૨), ૩૧૯(૫), ૩૫૧(૩), ૩૫૨, ૩૦૮(૫), ૩(૫), ૨૦૪, ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૪૦, ૪૨, મુજબ ગુનો દાખલ કરી ભરતનગર પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી આ બનાવના વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખ ગોકુળ કરમટીયા, આંબલા ગ્રામ્ય દક્ષીણામુર્તિ શાળાના આચાર્ય વાઘજી કરમટીયા તા.સિહોરના આંબલા ગામના રહેવાસી અને તેના ભાઈ ભુપત કરમટીયાની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા અંગે ની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે DYSP આર.આર.સિંઘાલનાએ જણાવ્યું હતું કે, આ બનાવમાં ભરતનગરમાં પોલિસ મથકમાં ફરિયાદ દાખલ થયેલ છે. તેમા પીઆઇ કુરેશી તપાસ ચલાવી રહ્યા છે.અને આ બનાવના આરોપીઓ ભુપતભાઇ, ગોકુલભાઈ અને વાઘજીભાઈ તેઓને પોલિસ દ્વારા હસ્તગત કરી અટક કરી લીધા છે.અને આ બનાવના ગોકુલભાઈ કરમટીયા એ પીએસાઈની ઓળખ આપેલી છે હકીકતમાં કોઈ આવા અધિકારી છે નહીં પરંતુ તેઓ હાલમાં સાઇબર ક્રાઇમમાં અમદાવાદ પીએસઆઇ નથી અને આ બનાવના અન્ય રઘુભાઈ સોંડાભાઈ રબારી રહે સુરત તેઓની અટક કરવાની બાકી છે અને હાલ પોલિસ આ બનાવની ઊંડી તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:16 pm

ભાભીએ જ દિયરને મારવા બે લાખની સોપારી આપી!:આરોપીઓ લગ્ન માટે છોકરી બતાવાવાનું કહીને લઇને નીકળ્યાને મારી નાખ્યો, પ્રાંતિજના કાલીપુરાની ઘટના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરાથી લવારી જવાના માર્ગ પર આજે વહેલી સવારે એક યુવાનની લાશ મળી હતી. પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ પ્રાંતિજના સદોલિયા ગામના વિષ્ણુસિંહ નવલસિંહ મકવાણા તરીકે થઈ હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતાં ગળેટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતકને ભાભીના પ્રેમ સંબંધ હોવાની શંકા હતીઆ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સદોલિયાના શક્તિનગરમાં ભૈરવદાદાના મંદિર પાસે રહેતા ગણપતસિંહ નવલસિંહ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગણપતસિંહની પત્ની કોકિલાબેન અને ગામના દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હોવાનો મૃતક વિષ્ણુસિંહને શંકા હતી. આ કારણે વિષ્ણુસિંહ તેની ભાભી કોકિલાબેન સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. ભાભીએ દિયરને મારવા બે લાખની વાત કરીઆ ઝઘડાઓથી કંટાળીને ભાભી કોકિલાબેને વિષ્ણુસિંહને મારી નાખવાનું પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું. તેણે દોલતસિંહ મકવાણાને વિષ્ણુસિંહની હત્યા કરવા માટે રૂ. 2 લાખ આપવાની વાત કરી હતી. દોલતસિંહે આ કામ માટે સદોલિયાના વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા અને માણસા તાલુકાના અનોડિયા ગામના રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડનો સંપર્ક કર્યો હતો. આરોપીઓ છોકરી બતાવાનું કહીને લઇને નિકળ્યાવિક્રમસિંહ અને રમેશસિંહ મૃતક વિષ્ણુસિંહને લગ્ન માટે છોકરી બતાવવાના બહાને ઇકો ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. રસ્તામાં તેમણે વિષ્ણુસિંહને ગળેટુંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ વિક્રમસિંહ અને રમેશસિંહ વિષ્ણુસિંહની લાશને પ્રાંતિજના કાલીપુરાથી લવારી જવાના માર્ગ પર જેટકો કંપનીની દીવાલ પાસે કચરાના ઢગલામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરીઆ બનાવ અંગે પ્રાંતિજ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં મિત્રએ મિત્રને પતાવી દીધો ત્રણેક મહિના અગાઉ રાપર તાલુકાના ત્રંબો ગામે પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્રંબો ગામથી પિતરાઇ ભાઇ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ પોતાના મિત્રએ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઇપો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી તરફ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્ટ્રક્શન કર્યું હતું. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો….

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:15 pm

14 ચોરાઉ બાઈક સાથે સગીર સહીત બે ઝડપાયા:રાજકોટમાં પોલીસ ભરતી પરીક્ષાની દોડમાં 10 સેકન્ડ માટે ફેઈલ થતા નાસીપાસ થયેલ બગદાણાની યુવતીએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

ભાવનગર જિલ્લાના બગદાણા નજીક નાના ખુંટવડા ગામે રહેતી ગુલાબ જીતુભાઇ ગોહેલ (ઉ.વ.21) નામની યુવતીએ આજે સવારે રાજકોટ એસટી બોસપોર્ટ નજીક અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રાજકોટ મવડી હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની દોડ માટે ફિઝિકલ ટેસ્ટ આપવા આવી હતી. જે દોડમાં 10 સેકેન્ટ માટે ફેઈલ થતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે પોલીસ બનવા માટે છેલ્લા 3 વર્ષથી મહેનત કરતી હતી. યુવતી બે ભાઇ બે બહેનમાં નાની હોવાનું સામે આવ્યું છે જયારે તેના પિતા ખેતી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી વિશાલ લોઢીયાને એક વર્ષની સજા વર્ષ 2023માં ફરીયાદી ધ્યેય દીલીપભાઈ કામાણીએ આરોપી વિશાલ લોઢીયાને પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા 10 લાખ રોકડા હાથ ઉછીના આપ્યા હતા. આ પછી ફરિયાદીએ રૂપિયા પરત માંગતા આરોપીએ ચેક લખી આપ્યો હતો જે ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે રિટર્ન થયો હતો જેથી કોર્ટમાં ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ ગૌરાંગ ગોકાણીએ કોર્ટમાં દસ્તાવેજી પુરાવા રજુ કરી દલીલો કરી હતી જે ધ્યાને લઈ કોર્ટે આરોપી વિશાલ લોઢીયાને એક વર્ષની સજા તથા 30 દિવસમાં ચેકની રકમ ન ચુકવે તો વધુ 3 માસની સજાનો હુકમ એડી. સીનીયર સીવીલ જજ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. વીજ કરંટ લાગતા યુવકનું મોત સુરજકુમાર ધીરજકુમાર ઝા (ઉં.વ.21) ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ કાગદડી ગામે કંપનીમાં આગાસી ઉપર કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર વીજ લાઈનમાંથી વીજ કરંટ લાગતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સુરજકુમાર ત્યાં કંપનીમાં અગાશી પર લોખંડની સીડી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતો હતો ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનને સીડી અડી જતા કરંટ લાગ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક 2 ભાઈમાં મોટો હોવાનું અને મૂળ બિહરાનો વતની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સૂરજ 3 મહિનાથી ફોર્સ ઇન્ડિયા બેવરેજીસ કંપનીમાં નોકરી કરતો હતો અને તેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. હાલ યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. 14 ચોરાઉ બાઈક સાથે સગીર સહીત બે ઝડપાયારાજકોટ શહેર આજીડેમ પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિરાજ ચોક પાસે વિભુતી પાર્ક રોડ પરથી સરફરાઝ થીમ અને એક સગીર આરોપીઓને ચોરાઉ બાઈક જીજે.03.એલએસ.1316 સાથે પકડી પાડી આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી આગવી ઢબે પુછપરછ કરતા સગીર આરોપીએ છેલ્લા ત્રણ-ચાર મહીનામાં રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી અન્ય કુલ 13 બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જે તમામ બાઈક આરોપી સરફરાઝ વિજયભાઇ થીમને વેંચાણ કરવા માટે આપતો હતો. પોલીસે આરોપી સરફરાઝ વિજયભાઇ થીમને સાથે રાખી બીલખા તથા આજુબાજુના ગામડાઓમાંથી તમામ બાઈક કબ્જે કરી આજીડેમ પોલીસે કુલ 14 ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દુધના ધંધાર્થીએ દારૂના નશામાં પોલીસનો કોલર પકડી ગર્ભિત ધમકી આપી રાજકોટ બી. ડિવિઝન પોલીસના વિશાલભાઈ મકવાણાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપક જેન્તી માનસૂરિયા (ઉ.વ.43)નું નામ આપતાં પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીને બાતમી મળી હતી કે, વિશાલ મિલ્ક નામની ડેરીની અંદર એક વ્યક્તિ ઇંગલીશ દારૂ પીવે છે જેથી તે શખ્સ ભાગી ન જાય માટે રાત્રીના 8 વાગ્યા આસપાસ તે શખ્સને કોર્ડન કરી અન્ય સ્ટાફને બોલાવી અહિં દારૂ પીવાય રહ્યો છે જેની ખરાઇ કરવા આવ્યા છીએ કહેતા શખ્સ ઉશ્કેરાઇ અને કહેવા લાગ્યો કે, તું મને ઓળખતો નથી, હાલ મારી ઉપર ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ તેમ કહી કોલર પકડી લીધો હતો. આરોપી કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હોય જેથી પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવી તેનું નામ પુછતા દીપક જેન્તી માનસુરીયા (ઉ.વ.43) હોવાનું જણાવ્યું હતું જેથી આરોપીને પોલોસની ઓળખ આપવાં છતાં ગર્ભિત ધમકી આપી કોલર પકડી ફરજમાં રૂકાવટ કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:05 pm

સુરેન્દ્રનગરને મળશે વિકાસકાર્યોની ભેટ:6 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 539 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 6 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરની મુલાકાત લેશે. તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે રૂ. 539.26 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ બપોરે 3.30 કલાકે યોજાશે. આ વિકાસ કાર્યોમાં શહેર અને જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, સ્થાનિક ધારાસભ્યો અને અન્ય અગ્રણી મહાનુભાવો પણ હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:04 pm

એફઓએમ પ્રોજેક્ટથી ખેડૂતોને મળી રહ્યો છે લાભ:રાસાયણિક ખાતર વિના પાકની ઉત્તમ વૃદ્ધિ

વર્તમાન સમયમાં ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુર (FOM) કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ આવશ્યકતા બની ગયું છે. રાસાયણિક ખાતરના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર પડી રહી છે, ત્યારે બીજી તરફ ખેતરના અવશેષો અને શેરડીની ખાંડ મિલોમાંથી નીકળતો કચરો દેશભરમાં વધી રહ્યો છે. આવા જૈવિક કચરાને ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા ઉપયોગી ખાતરમાં રૂપાંતરિત કરી ખેડૂતો સુધી પહોંચાડવાની પહેલ પ્રશંસનીય છે. આનાથી પાક ઉત્પાદન વધવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. આ વિચારધારા આધારિત FOM પ્રોજેક્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ દ્વારા નાદરખા ગામમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે. પસંદ કરાયેલા ખેડૂતોને ઘઉંના બીજ અને ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુર પૂરું પાડવામાં આવ્યું છે. આ FOM પ્રોજેક્ટ રેનૂ, એસએમએસ (ગૃહવિજ્ઞાન) દ્વારા ડૉ. કનક લતા, પ્રધાન વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.ડૉ. કનક લતાના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે કોઈપણ રાસાયણિક ખાતરના ઉપયોગ વિના માત્ર FOMના ઉપયોગથી પાકની વૃદ્ધિ અત્યંત સંતોષજનક રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની એક ટીમ દ્વારા પાકનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ડૉ. કનક લતાજીએ હાજર રહી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને તેમને FOMના લાભો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.FOM જેવી ટેક્નોલોજી માત્ર કૃષિ કચરા વ્યવસ્થાપનનો ઉકેલ પૂરો પાડતી નથી, પરંતુ ટકાઉ ખેતી અને ખેડૂતોની આવક વધારવાની દિશામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 7:02 pm

AMC પ્લોટ વેચી 528 કરોડથી વધુની આવક મેળવશે:થલતેજ, બોડકદેવ અને ચાંદખેડાના પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરાશે, પ્રતિ ચો.મી.ના 1.63 થી 2.90 લાખનો ભાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોડકદેવ, નવા વાડજ, ચાંદખેડા અને મોટેરા સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 6 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય AMC સ્ટેન્ડિંગ કમિટીએ લીધો છે. આ પ્લોટના વેચાણથી રૂ. 528 કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય તેવી શક્યતાઓ છે. બેઝ પ્રાઈઝ નક્કી, જાહેર હરાજીથી પ્લોટનું વેચાણ કરાશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ હેતુ બંને માટે હોય છે તેના વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેમ છે. જેમાં નાના પ્લોટો વેચાણ કરી આવક ઊભી કરવા માટેની સૂચનાને પગલે પશ્ચિમ વિસ્તારમાં આવેલા 14 જેટલા પ્લોટોને વેચાણ પૈકી નવ જેટલા પ્લોટનું વેલ્યુશન કરવામાં આવ્યું છે. ડિસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટી અંતર્ગત આવનાર રચિત કમિટી દ્વારા 6 પ્લોટ વેચાણ કરવા માટે તળિયાની કિંમતો નક્કી કરવામાં આવી છે અને જે મુજબ ભાવ નક્કી કરીને પ્લોટને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે. પ્રતિ ચો.મી. 1.63 લાખથી 2.90 લાખનો ભાવશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ, બોડકદેવ, મોટેરા, ચાંદખેડા નવા વાડજ વિસ્તારના કુલ છ જેટલા પ્લોટો વેચાણ કરવામાં આવશે જેના માટે પ્રતિ ચોરસ મીટરના 1.63 લાખથી 2.90 લાખ રૂપિયાનો ભાવ મૂકવામાં આવ્યો છે છ પ્લોટના વેચાણથી અંદાજિત 528 કરોડ જેટલી આવક ઊભી થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:47 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બાપુનગરમાં ત્રણ શખ્સ તલવારથી તૂટી પડ્યા, આસારામ આશ્રમમાં ધૂળમાં મળી જશે

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:45 pm

ગોધરાની નિશા ગોસ્વામીએ ઝોન કલા ઉત્સવમાં તૃતીય સ્થાન મેળવ્યું:પંચમહાલની વિદ્યાર્થિનીએ ચિત્રકલા સ્પર્ધામાં સફળતા મેળવી

પંચમહાલ જિલ્લાના કાંકણપુર સ્થિત એ.વી. શાહ શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિશા ભરતભાઈ ગોસ્વામીએ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેણે શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ કલા ઉત્સવ-2025-26 'વિકસિત ગુજરાત 2047' થીમ પર આધારિત હતો. આ અંતર્ગત યોજાયેલી ચિત્રકલા સ્પર્ધામાં નિશા ગોસ્વામીએ ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તેમાં પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ખેડા અને વડોદરા સહિતના જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.નિશાએ પોતાની ચિત્રકલાના કૌશલ્યથી વિજેતા બનીને પ્રમાણપત્ર મેળવ્યું છે. તેની આ સફળતા બદલ એ.વી. શાહ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:42 pm

ભરૂચ NH-48 પર ટેન્કરની ટક્કરે 2 યુવાનોના મોત:અકસ્માત બાદ ચાલકનો પીછો કરતો વીડિયો વાયરલ

ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર એક ગંભીર માર્ગ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવાનોના મોત થયા છે. એક ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક કાર ચાલકે ટેન્કરનો પીછો કર્યો હતો અને તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં ટેન્કર ચાલક બેફામ રીતે વાહન ચલાવતો જોવા મળે છે. પીછો કરનાર ચાલકે ટેન્કરને રોડની બાજુમાં ઉતારી દીધું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણાનું ઘટનાસ્થળે જ ટેન્કરના ટાયર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. જ્યારે પીનેશ દલાલને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મૃત્યુ થયું. સ્થાનિક લોકો દ્વારા ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:40 pm

યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન, ફર્સ્ટ એઈડની સઘન તાલીમ:SDRF-NDRF જેવી પદ્ધતિઓથી જીવ બચાવવાના પાઠ શીખ્યા

9 થી 15 ડિસેમ્બર દરમિયાન સાત દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ એઈડ તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કટોકટીની સ્થિતિમાં જીવન બચાવવા માટે સઘન તાલીમ આપવાનો હતો. આ તાલીમમાં યુવાનોને વ્યવહારિક જ્ઞાન અને આવશ્યક કૌશલ્યો શીખવવામાં આવ્યા. તાલીમની શરૂઆત સર્પદંશ વ્યવસ્થાપનથી થઈ, જેમાં સાપ કરડવા પર લેવાના પગલાં અને ટાળવાની બાબતોની વિગતવાર સમજણ અપાઈ. ત્યારબાદ રોપ રાઈડિંગ અને રેસ્ક્યુ ટેકનિક શીખવવામાં આવી. SDRF અને NDRF જેવી પ્રોફેશનલ ફોર્સ કેવી રીતે દોરડાના સહારે પૂર કે અન્ય હોનારત વખતે જીવ બચાવે છે, તેનું જીવંત નિદર્શન કરાયું. સહભાગીઓએ પોતે પણ દોરડા પર લટકીને બચાવ કાર્યનો અભ્યાસ કર્યો. તબીબી સહાયમાં મહત્વપૂર્ણ ગણાતી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસીટેશન) પ્રક્રિયા પર વિશેષ ધ્યાન અપાયું. કોઈના ધબકારા થંભી જાય ત્યારે તેને કેવી રીતે પુનઃજીવિત કરી શકાય, તેની ટેકનિક મેનિકન (પૂતળા) પર શીખવવામાં આવી. પ્રેક્ટિકલ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ હાથોની પકડ અને છાતી પર અપાતા દબાણનું મહત્વ અનુભવ્યું. આ સાથે જ ગંભીર ઈજાઓ વખતે વહેતું લોહી અટકાવવા માટેની પાટા-પિંડી (Bandaging) ની કળા પણ શીખવવામાં આવી. પાણીમાં ડૂબતા માણસને બચાવવા માટેની 'સ્વિમિંગ રેસ્ક્યુ' તાલીમ પણ કેમ્પનો એક ભાગ હતી. ડૂબતા વ્યક્તિને બચાવતી વખતે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી અને તેને સુરક્ષિત રીતે કિનારે લાવવો તે શીખવવામાં આવ્યું. સાત દિવસની આ તાલીમ બાદ, સહભાગીઓમાં આપત્તિની સ્થિતિમાં મદદ કરવાની અને જવાબદારી નિભાવવાની આત્મવિશ્વાસની ભાવના જાગી. આ કેમ્પે સામાન્ય વ્યક્તિને પણ કટોકટીમાં અસરકારક મદદગાર બનવા સક્ષમ બનાવ્યો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:38 pm

આહવા શિવ ઘાટ માર્ગ પર દીપડાનો આતંક:બાઈક ચાલક પર ધોળા દિવસે હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

આહવા શહેર નજીક શિવ ઘાટ માર્ગ પર દીપડાએ બાઈક ચાલક દેવેન્દ્રભાઈ ભગર્યા પર હુમલો કર્યો હતો. આ ઘટના ધોળા દિવસે બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દેવેન્દ્રભાઈ બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા કિનારે ઝાડઝાંખરમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં દેવેન્દ્રભાઈને ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ આહવા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત દેવેન્દ્રભાઈને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. હુમલા બાદ દીપડો રસ્તાની બાજુમાં આવેલા પથ્થરો પર જઈને બેઠો હતો. થોડા સમય સુધી તે ત્યાં જ બેસી રહ્યો હોવાથી વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. માર્ગ પરથી પસાર થતા લોકો ત્યાં રોકાઈ ગયા હતા અને કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં દીપડાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. દીપડાના રસ્તા પર આંટાફેરા કરતા દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપડો નિર્ભયતાથી રસ્તા નજીક ફરતો જોવા મળતા લોકોમાં ચિંતા અને ભય જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના મતે, છેલ્લા કેટલાક સમયથી આહવા આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડાઓ વસાહત તરફ આવવાના બનાવોમાં વધારો થયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. લોકોને રાત્રે અથવા વહેલી સવારે આ માર્ગ પરથી બિનજરૂરી રીતે પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની અને સતત નજર રાખવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જણાવ્યું છે. આ ઘટનાએ માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓ તેમની સુરક્ષા માટે કાયમી પગલાં લેવા વન વિભાગ અને પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:37 pm

અમદાવાદમાં 'OPAI 2026' રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન:તબીબી પ્રોસ્ટેટિક્સ અને ઓર્થોટિક્સ ક્ષેત્રમાં થયેલા નવા સંશોધન અને ટેકનોલોજી વિશે ચર્ચા

શહેરમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ માટે તબીબી ક્ષેત્રની મહત્વની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (OPAI) દ્વારા યોજાતી આ 29મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. આ કોન્ફરન્સ અંગે માહિતી આપવા માટે આજે, 4 ફેબ્રુઆરીના રોજ, એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકોએ કાર્યક્રમના હેતુ અને મહત્વ વિશે માહિતી આપી હતી. નવા સંશોધન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરશેઆ કોન્ફરન્સનું મુખ્ય વિષય જીવનને સક્ષમ બનાવવું છે. પ્રાથમિક આરોગ્ય સંભાળમાં કૃત્રિમ અંગો અને ઓર્થોટિક્સનું સંકલન. એટલે કે, કેવી રીતે કૃત્રિમ અંગો અને સહાયક સાધનોને સામાન્ય આરોગ્ય સેવાઓ સાથે જોડીને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ બનાવી શકાય. કાર્યક્રમમાં દેશ અને વિદેશના નિષ્ણાતો ભાગ લેશે અને કૃત્રિમ અંગો (પ્રોસ્ટેટિક્સ) તથા સહાયક સાધનો (ઓર્થોટિક્સ) ક્ષેત્રમાં થયેલા નવા સંશોધન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરશે. આ નવી ટેકનોલોજી સામાન્ય દર્દીઓ સુધી કેવી રીતે પહોંચે તે અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. આધુનિક તબીબી સુવિધાઓનું પ્રદર્શન કરાશેઆ કોન્ફરન્સને ભારત સરકારના ‘રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (RCI)નું સમર્થન મળ્યું છે. સાથે જ Ottobock, Ossur જેવી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ ઇવેન્ટ દરમિયાન ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સાથે આધુનિક તબીબી સુવિધાઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓને વધુ આત્મનિર્ભર બનાવવા અને તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આ કોન્ફરન્સ યોજાશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:31 pm

રાજકોટ મનપાનું રાજકારણ ગરમાયુ:ટર્મ પૂરી થવાના સવા મહિના પૂર્વે જ ભાજપના દિગ્ગજ કોર્પોરેટરનું સભ્યપદ જોખમમાં, સેક્રેટરીએ કમિશ્નર પાસે માંગ્યો કાનૂની અભિપ્રાય, નગરસેવકે બચાવમાં જાણો શુ કહ્યું

રાજકોટ મહાપાલિકાની વર્તમાન શાસક બોડીની મુદત પુરી થવામાં માત્ર 37 દિવસ (સવા મહિનો) બાકી છે. ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 7 ના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુકલ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહેતા તેમના સભ્યપદ પર કાયદાકીય તલવાર લટકી રહી છે. ઇન્ચાર્જ સેક્રેટરીએ આ મામલે કમિશનરને લેખિત પત્ર પાઠવીને કાનૂની અભિપ્રાય માંગતા ભાજપની આંતરિક લોબીમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. જોકે નેહલ શુક્લએ બચાવમાં જણાવ્યું છે કે, હું આ સમયગાળા દરમિયાન સ્ટેન્ડિંગની બેઠકમાં હાજર રહ્યો હોવાથી સતત ગેરહાજરીનો કોઈ સવાલ જ નથી. જીપીએમસી (GPMC) એક્ટની કલમ 11 મુજબ, જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહે અથવા 6 મહિના સુધી ગૃહની કામગીરીથી અલિપ્ત રહે, તો તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે. નેહલ શુકલની ગેરહાજરીની વાત કરીએ તો તા. 20-9-25 ના રોજ મળેલી બોર્ડ બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. તા. 20-11-25 ના રોજની સભામાં પણ તેઓની ગેરહાજરી નોંધાઈ હતી, જોકે તેમણે રજા રિપોર્ટ મોકલ્યો હતો. જ્યારે તારીખ 20-1-26 ના રોજ યોજાયેલી છેલ્લી સભામાં પણ તેઓ રજા રિપોર્ટ બાદ અનુપસ્થિત રહ્યા હતા. આમ, સળંગ ત્રણ સભાઓમાં હાજરી ન પુરાતા સેક્રેટરી વિભાગે નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરી છે. ભૂતકાળમાં વર્ષ 2018 માં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પણ આજ કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. એ કેસ છેક શહેરી વિકાસ વિભાગ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેને ટાંકીને અત્યારે તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાકીય ગૂંચ અને નેહલ શુકલનો બચાવ આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં નેહલ શુકલે જણાવ્યું હતું કે કાયદામાં માત્ર 'સામાન્ય સભા' એવો ઉલ્લેખ નથી, પરંતુ છ મહિનામાં એકપણ બેઠકમાં હાજર ન હોય તો જ સભ્યપદ રદ થઈ શકે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, મેં ઓક્ટોબર મહિનામાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજરી આપી છે અને તેની નોંધ રેકોર્ડ ઉપર પણ છે. ત્રણ બોર્ડમાં હું અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યો ન હતો, જેમાં પણ બે બોર્ડમાં મારો રજા રિપોર્ટ મંજુર કરવામાં આવ્યો હતો. તેમજ કમિટીની કામગીરીમાં મારી હાજરી હોવાથી સભ્યપદ રદ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બીજી તરફ, રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે હવે જ્યારે બોડીની ટર્મ પૂરી થવાને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કમિશનર કક્ષાએથી કોઈ કડક નિર્ણય લેવાય તેવી શક્યતા ઓછી છે. કમિશનરે આ બાબતે કાનૂની માર્ગદર્શન લેવા માટે ફાઈલ આગળ વધારી છે. જો આગામી સપ્તાહે યોજાનારી મહત્ત્વની 'બજેટ સભા' પૂર્વે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નહીં આવે, તો નેહલ શુકલ રાબેતા મુજબ ગૃહમાં બેસી શકશે. પરંતુ જો તેમને ગેરલાયક ઠેરવવામાં આવે, તો આગામી ચૂંટણી પૂર્વે ભાજપ માટે આ એક મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે. ત્યારે હાલ સમગ્ર શહેરની નજર કમિશનરના અભિપ્રાય અને આગામી બજેટ બોર્ડ પર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાનાં શાસકોની મુદ્દત આગામી તા. 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. એટલે કે માત્ર સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે જો કદાચ નેહલ શુક્લ ગેરલાયક ઠરે તો પણ બજેટનાં બોર્ડ સિવાય અન્ય કોઈ બોર્ડમાં તેમણે બેસવાનો સવાલ જ નથી. હાલમાં ચાલી રહેલી બજેટનાં અભ્યાસની મિટિંગ પણ તે એટેન્ડ કરી રહ્યા છે. ત્યારે જ ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા આ પ્રકારનો પત્ર લખવામાં આવતા ભાજપનાં જ આંતરિક વિવાદને કારણે આવું થયું હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:28 pm

રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું:પડતર માંગણીઓ અને ઓનલાઇન કામગીરીના ત્રાસ સામે આંગણવાડી-આશા બહેનોનું કલેક્ટરને આવેદન

આજે સીટુ (CITU) સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કર બહેનો શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે થી રેલી યોજી પોતાની પડતર માંગણીઓ અને વણઉકેલ્યા પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ​આંગણવાડી કાર્યકર રમિલાબા આર. ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષોથી બાળ પોષણ અને આરોગ્ય ક્ષેત્રે પાયાની કામગીરી કરતી બહેનો પર હવે ઓનલાઇન કામગીરીનું ભારણ લાદવામાં આવ્યું છે. સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યા નથી, છતાં બહેનોએ પોતાના અંગત મોબાઈલ પર 6 જેટલી નવી એપ્લિકેશનો વાપરવી પડે છે, 'હેડ કાઉન્ટ' જેવી નવી એપમાં બાળકોની સંખ્યા પૂરેપૂરી દર્શાવવામાં આવતી નથી, જેના કારણે કામગીરીમાં અવરોધ આવે છે, નક્કી કરેલા સમય કરતા બમણું કામ લેવામાં આવે છે રાત્રે પણ અધિકારીઓ ફોન કરીને માહિતી માંગતા હોવાથી બહેનો માનસિક 'ટોર્ચિંગ' અનુભવે છે હાઇકોર્ટ દ્વારા પગાર વધારાનો જે ચુકાદો આપવામાં આવ્યો છે, તેનો ફેબ્રુઆરીમાં 6 મહિના પૂર્ણ થવા છતાં હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી, ​બીજી તરફ આશા ફેસિલિટેટર રેખાબેન લશ્કરીએ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 2022 થી કેન્દ્ર સરકારના 2 હજાર રૂપિયામાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી. 1500 રૂપિયાના વધારાની જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે, આશા અને ફેસિલિટેટર બહેનોને ઇન્સેન્ટિવના બદલે ફિક્સ પગાર આપવામાં આવે, છેલ્લા ત્રણ મહિનાથી બહેનોને ઇન્સેન્ટિવ કે પત્રક મળ્યા નથી, જેના કારણે આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે, દર વર્ષે બે જોડી કપડાં આપવાના વચન સામે માત્ર એક જ વાર યુનિફોર્મ અપાયા છે, ઓનલાઇન ફેસ અપલોડ ન થાય તો 250 રૂપિયા જેવી નજીવી રકમમાંથી પણ કાપ મૂકવામાં આવે છે, ​આશા બહેનોએ આક્ષેપ કર્યો છે કે રાત્રે 12 કે 2 વાગ્યે ડિલિવરી કેસમાં જવું પડે છે, અને જો ન જઈ શકાય તો અધિકારીઓ દ્વારા મીટિંગમાં ધમકાવવામાં આવે છે. જો અમે કાયમી કર્મચારી નથી, તો અમારી પાસે 24 કલાક કામ કેમ લેવામાં આવે છે, બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પગાર વધારાના ચુકાદાનો અમલ નહીં થાય અને ઓનલાઇન કામગીરીના નામે થતું શોષણ બંધ નહીં થાય, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:26 pm

કાલાવડ નાકા બહાર નવા બ્રિજ માટે મંદિર હટાવાયું:જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર ફોરલેન બ્રિજનું નિર્માણ થશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદી પર નવા ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે જૂના અને જર્જરિત બ્રિજને તોડી પાડવામાં આવ્યો છે. નવા બ્રિજના નિર્માણ માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે, શહેરના કાલાવડ નાકા બહાર આવેલા ધણસેરીયા હનુમાનજી મંદિરને ડિમોલેશન કરીને હટાવવામાં આવ્યું છે. આ મંદિર નવા બ્રિજના નિર્માણ કાર્યમાં અડચણરૂપ હતું. મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહારના વિસ્તારમાં જ્યાં નવો બ્રિજ બનવાનો છે, ત્યાંથી હજુ ઘણા દબાણો દૂર કરવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય દબાણો પણ હટાવવામાં આવશે. દબાણો દૂર થયા બાદ બ્રિજની કામગીરી પૂરજોશમાં શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 6:12 pm

વિધાનસભામાં બજેટ સત્ર:રાજ્યપાલના સંબોધનથી શરૂઆત, 18 ફેબ્રુઆરીએ કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના આવનારા બજેટ સત્રને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સત્ર માટેનો કામચલાઉ ટાઇમટેબલ પણ જાહેર કરવામાં આવ્યો છે. પરંપરા મુજબ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થશે. કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ વાર્ષિક બજેટ રજૂ કરશેરાજ્યપાલના સંબોધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અવસાન પામેલા પૂર્વ સભ્યોને યાદ કરીને શોકદર્શક ઉલ્લેખ અને પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. વિકાસ, નીતિગત નિર્ણય અને આર્થિક દિશાને લઈ ચર્ચા થવાની શક્યતાવિધાનસભા સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચર્ચા, વિવિધ વિભાગોની માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા તેમજ રજાઓ અને બેઠકો અંગેનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. બજેટ સત્રમાં રાજ્યના વિકાસ, નીતિગત નિર્ણય અને આર્થિક દિશાને લઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:57 pm

કતલખાનું બનાવાની દરખાસ્ત પાછી ખેંચી:ગૌવંશ ભરીને જતી ગાડીનો ભયાનક અકસ્માત, બસસ્ટેન્ડમાં યુવકનો આપઘાત, ચીફ ઓફિસરે ઉપપ્રમુખને 'નોન્સેન્સ'કહ્યા

આખરે કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચાઈ એએમસી કમિશનરે અમદાવાદમાં કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચી લીધી છે. ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં જૂનું કતલખાનું બંધ કરી નવું બનાવવાની જાહેરાત બાદ ભાજપના પૂર્વ ધારાસભ્યએ વાંધો ઉઠાવ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 25મી મેરેજ એનિવર્સરીની પાર્ટીમાંથી ઝડપાઈ દારુ મહેફિલ સાણંદમાંથી ઝડપાઈ હાઈ પ્રોફાઈલ દારુની મહેફિલ.. જેમાંથી 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આ પાર્ટી રખાઈ હતી. .પોલીસે પાર્ટીમાંથી 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોટેરા આશ્રમ પર ફરી વળશે બુલડોઝર અમદાવાદના મોટેરામાં આવેલો આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોટંબી સ્ટેડિયમમાં WPLની ફાઈનલ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં WPLની ફાઈનલ રમાશે.. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ ટ્રોફી માટે સામસામે ટકરાશે.. તો ક્લોઝિંગ સેરેમનીમાં મલાઈકા અરોરા અને તલવિંદરસિંઘ પરફોર્મ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૂતરાઓના હુમલાથી બાળકને 30 ટાંકા આવ્યા સુરતમાં વાલક પાટિયા પાસે સાડા ત્રણ વર્ષના બાળક પર ચારથી પાંચ શ્વાનોએ હુમલો કર્યો.. કુતરુ કરડતાં બાળકને 30થી 35 ટાંકા લેવા પડ્યા. હાલ બાળક સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોમ્પ્લેક્સમાં આગ લાગતા 40 દુકાનો રાખ થઈ ગઈ વેરાવળમાં આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં ડીઝલ પંપની દુકાનથી શરુ થયેલી આગે 40 દુકાનોને ચપેટમાં લઈ લીધી..તમામ દુકાનો આગમાં સ્વાહા થઈ જતા કરોડોનું નુક્શાન થયું છે..તો ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચીફ ઓફિસર અને ઉપપ્રમુખની બબાલનો વીડિયો વાયરલ જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ બાખડી પડ્યા..બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૌવંશ ભરીને જતી ગાડીનો ભયાનક અકસ્માત અમદાવાદમાં BRTS ટ્રેક પર ગાય-વાછરડા ભરેલી ગાડીનો અકસ્માત થયો.. બેફામ સ્પીડે આવતા ડિવાઈડર-પોલ તોડ્યા..ત્રણેય શખ્સો કરામાંથી ફરાર થઈ ગયા.. જ્યારે એકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝાડ સાથે દોરી બાંધી યુવકનો આપઘાત રાજકોટના ભાવનગર રોડ પર બસ સ્ટેન્ડમાં યુવકે ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરી. બસ સ્ટેન્ડમાં એસટી બસ અને લોકોની સતત અવરજવર વચ્ચે પણ કોઈનું યુવક પર ધ્યાન ન જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ઠંડી-ગરમીનો ડબલ ડોઝ ગુજરાતમાં ઠંડી-ગરમીનો ડબલ ડોઝ ... સવારે અને સાંજે હાડ થીજવતા પવનો ફૂંકાઈ રહ્યા છે,તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:55 pm

વલસાડના કોસંબામાં જર્જરિત શાળામાં આયુર્વેદિક કેન્દ્ર કાર્યરત:છત અને દીવાલો ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં, દર્દીઓ-સ્ટાફ માટે જોખમ

વલસાડ તાલુકાના કોસંબામાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળાની ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે અને તેને તોડી પાડવાની હરાજી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આમ છતાં, આ જ જોખમી ઇમારતમાં જિલ્લા પંચાયત હસ્તકનું આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર હજુ પણ કાર્યરત છે, જેના કારણે ગંભીર બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ઇમારતોની સુરક્ષા અંગે વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. કોસંબાની આ મુખ્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા તેમને નજીકની અન્ય શાળામાં ખસેડવામાં આવ્યા હતા અને શાળા બંધ કરાઈ હતી. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ શાળાને સત્તાવાર રીતે જર્જરિત જાહેર કરવામાં આવી છે. આ આયુર્વેદિક દવાખાનામાં દરરોજ અંદાજે 15 થી 20 દર્દીઓ સારવાર માટે આવે છે, અને 4 થી 5 કર્મચારીઓનો સ્ટાફ અહીં ફરજ બજાવે છે. ઇમારતની છત અને દીવાલો ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે, જે દર્દીઓ અને સ્ટાફ બંને માટે જીવનું જોખમ ઊભું કરે છે. ખાસ કરીને ચોમાસાની મોસમ નજીક હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક આગેવાન ભૂમિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, શાળા જર્જરિત છે અને તેની હરાજી પણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેને તોડી પાડવાની મંજૂરી મળી જશે. તેમણે સ્વીકાર્યું કે દવાખાનું મુખ્ય માર્ગ પર હોવાથી દર્દીઓને સરળતા રહે છે, પરંતુ સલામતીના દૃષ્ટિકોણથી આ જગ્યા યોગ્ય નથી. અગાઉ પણ તંત્રને શાળાના પાછળના ભાગે અથવા ટેપાની શાળામાં ખાલી પડેલા રૂમમાં આ કેન્દ્રને શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, શાળાના વિદ્યાર્થીઓને તો અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ આરોગ્ય કેન્દ્ર હજુ પણ આ જ જોખમી ઇમારતમાં કાર્યરત છે. ભૂમિક પટેલે ફરીથી જિલ્લા પંચાયતને વહેલી તકે આ કેન્દ્રને ટેપાની શાળામાં શિફ્ટ કરવા વિનંતી કરી છે, જેથી સ્ટાફ અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:54 pm

ભલગામમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ:બાજુના ગામના ટાવરથી માંડ કનેક્ટિવિટી, રાત્રે બિલકુલ મળતી નથી

પાટણ તાલુકાના ભલગામમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ ગ્રામજનો માટે મોટી સમસ્યા બની છે. આજના ઝડપી ઇન્ફર્મેશન ટેકનોલોજી અને મોબાઈલ યુગમાં પણ ગામ લોકો ઝડપી ઇન્ટરનેટથી વંચિત છે, જેના કારણે દૈનિક વ્યવહારો અને બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર પડી રહી છે. ભલગામ એક મોટું ગામ હોવા છતાં, અહીં કોઈ મોબાઈલ ટાવર નથી.ગ્રામજનો ત્રણ કિલોમીટર દૂર આવેલા કુણઘેર ગામના ટાવર પર નિર્ભર છે. જોકે, ત્યાંથી મળતી કનેક્ટિવિટી સંતોષકારક નથી અને ઇન્ટરનેટમાં સતત બફરિંગ થયા કરે છે. ગામના યુવાન રમેશજીએ જણાવ્યું કે, આ તકલીફ કાયમથી છે. ગામમાં ટાવર ન હોવાથી ઇન્ટરનેટ ખૂબ ધીમું ચાલે છે. આજના યુગમાં ઇન્ટરનેટ સામાન્ય માનવીની જિંદગી સાથે વણાઈ ગયું છે, ત્યારે અહીં ધીમી સ્પીડને કારણે નેટ આધારિત વ્યવહારો પણ પ્રભાવિત થાય છે. ગામના વાયરમેન વિનુજી ઠાકોરે ઉમેર્યું કે, દિવસે માંડ એક-બે પોઇન્ટ ટાવર મળે છે, જ્યારે રાત્રે તો બિલકુલ કનેક્ટિવિટી મળતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક સમયમાં બાળકોના અભ્યાસમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે, પરંતુ ભલગામના બાળકો આ સુવિધાથી વંચિત રહી જાય છે.ગ્રામજનો દ્વારા ભલગામમાં તાત્કાલિક મોબાઈલ ટાવર સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ગામના લોકોને આધુનિક સુવિધાઓનો લાભ મળી શકે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:50 pm

મોરબી પ્રભારી મંત્રી સમક્ષ 36 પ્રશ્નો રજૂ:ચેમ્બર ઓફ કોમર્સ, સિરામિક એસો. સાથે ઓપન હાઉસમાં રજૂઆત

મોરબી કલેકટર કચેરી ખાતે ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને એક ઓપન હાઉસ યોજાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સિરામિક સહિતના વિવિધ એસોસિયેશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શ્રમિકો માટે પીવાના પાણી, ઔદ્યોગિક વિસ્તારના રોડ-રસ્તા અને બંધ પડેલા કારખાનાઓની બાંધકામ જંત્રી સહિતના 36 જેટલા વિવિધ વિભાગને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રીએ આ પ્રશ્નોના નિકાલ માટે ખાતરી આપી હતી. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઓપન હાઉસમાં ઉપસ્થિત આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં મોરબીના ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે. રાજ્ય સરકારનું વિઝન છે કે કોઈ પણ જિલ્લાના ઉદ્યોગગૃહના સ્થાનિક, વહીવટી કે રાજ્યકક્ષાના પ્રશ્નો જાણીને તેનું નિરાકરણ લાવવામાં આવે અને આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે. આ બેઠકમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ગેસનો જીએસટીમાં સમાવેશ કરવો, એસજીએસટીની ડિવિઝન ઓફિસ મોરબીમાં કાર્યરત કરવી, સિરામિક ટેસ્ટિંગ લેબોરેટરી માટે જમીનની ફાળવણી કરવી, સિરામિક ઔદ્યોગિક વિસ્તારમાં રોડ-રસ્તા, લાઇટિંગ અને ટ્રાન્સપોર્ટ પાર્કિંગની સુવિધા પૂરી પાડવી, સિરામિકમાં કામ કરતા શ્રમિકો માટે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું, બંધ પડેલા કારખાનાના શેડના જંત્રી દરમાં વિસંગતતાને કારણે થતા વેચાણના પ્રશ્નોનું નિરાકરણ લાવવું, અને સિરામિક કારખાનામાં ઘસારાના દરના કારણે જૂના કારખાનાની લે-વેચ ન થતી હોય તે બાબતે યોગ્ય નિર્ણય લેવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રિંગરોડ અને ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા પણ કેટલાક પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં લવણપુર, નવલખી, જુમાવાડી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવો, નાનાભેલા ગામથી બગસરા સુધી અગરિયાઓ માટે પાણીની પાઇપલાઇન નાખવી, રણ વિસ્તારમાં ઉત્પાદિત થતા મીઠાને બહાર લાવવા માટે કાચા રસ્તાઓની જગ્યાએ પાકા ડામરના રસ્તા બનાવવા, મીઠાના ઉત્પાદન માટે ભાડાપટ્ટે આપેલ જમીનના સમયસર ભાડાપટ્ટા રિન્યુ કરવા અને અગરિયાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે રાજકોટના હીરાસર એરપોર્ટ અને મોરબીને કનેક્ટિવિટી માટે કુવાડવાનો બ્રિજ વહેલી તકે બનાવવાની માંગ કરી હતી. સાથે જ, નવા બની રહેલા ટોલનાકા માટે જિલ્લામાં ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:38 pm

કેન્દ્રીય બજેટ 2026-27 વિકસિત ભારતનો મજબૂત રોડમૅપ:કિર્તીસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું

બનાસકાંઠા: ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાએ કેન્દ્રીય બજેટ 2026-27ને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મજબૂત રોડમૅપ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ બજેટ ગરીબી નિવારણ, રોજગાર સર્જન અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દેશના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. માનનીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરાયેલું આ સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ છે. આ બજેટ દેશને વિકસિત ભારત @2047ના લક્ષ્ય તરફ આગળ લઈ જતું, જનકેન્દ્રી અને સર્વાંગી વિકાસલક્ષી છે. આ અંગેની પત્રકાર પરિષદ ભાજપ બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ખાતે કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ પરિષદનું સંચાલન જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બજેટ કાર્યક્રમના ઇન્ચાર્જ નિરંજનભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ચૌધરી, રમેશજી રાઠોડ તથા જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકારોને માહિતી આપતા અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું આ બજેટ માત્ર આવક-ખર્ચનો હિસાબ નથી. તે યુવા શક્તિના સશક્તિકરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દેશના સર્વાંગી વિકાસનો સ્પષ્ટ રોડમૅપ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બજેટમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે રાજકોષીય શિસ્ત, મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, MSME અને સ્ટાર્ટઅપ માટે નાણાકીય સહાય, તેમજ મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગ ક્ષેત્રને મજબૂતી આપવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કિર્તીસિંહ વાઘેલાએ ઉમેર્યું કે કૃષિ, પશુપાલન, માછીમારી, બાગાયત અને ગ્રામિણ વિકાસ માટેની જોગવાઈઓ ખેડૂતોની આવક વધારવામાં સહાયક બનશે. આ સાથે રસ્તા, રેલવે, લોજિસ્ટિક્સ, ઊર્જા તથા ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનના કુશળ માર્ગદર્શન હેઠળ 15 ફેબ્રુઆરી, 2026 દરમિયાન સમગ્ર દેશમાં બજેટ પ્રચાર અભિયાન 2026નું આયોજન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બજેટની મુખ્ય જોગવાઈઓ અને જનહિતકારી પગલાં અંગે ગ્રાસરૂટ સ્તરે તેમજ ડિજિટલ માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે. અંતમાં, અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2026-27 સામાન્ય નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું છે અને ભારતને આત્મનિર્ભર, સમૃદ્ધ તથા વૈશ્વિક સ્તરે શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:38 pm

પાટણ TP સ્કીમ-2માં 15 વર્ષે પણ સુવિધાઓનો અભાવ:બિલ્ડર એસોસિએશને પ્લોટ કબજા અને માળખાકીય સુવિધાઓ માટે રજૂઆત કરી

પાટણ શહેરના સમાલપાટી વિસ્તારમાં આવેલી ટી.પી. સ્કીમ નંબર 2 માં માળખાકીય સુવિધાઓ અને પ્લોટના કબજા સોંપણીમાં વિલંબ થતા પાટણ ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એસોસિએશને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. એસોસિએશને ડામર રોડ, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇન જેવી સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવા અને પ્લોટના કબજા સુપ્રત કરવા માંગ કરી છે. આ સ્કીમનો ડ્રાફ્ટ પ્લાન 2010માં તૈયાર થયો હતો અને 15 વર્ષ બાદ હવે ફાઇનલ થઈ છે. બિલ્ડર્સ એસોસિએશને જણાવ્યું કે, આ વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતો અને રોકાણ કરનારા બિલ્ડરો લાંબા સમયથી ટી.પી. સ્કીમ ફાઇનલ થવાની રાહ જોઈ રહ્યા હતા. અનેક કિસ્સાઓમાં નવી શરતની જમીનોને બિનખેતી કરાવવા માટે સરકારી પ્રીમિયમની મોટી રકમો ભરી દેવાઈ છે, છતાં હજુ સુધી ભૌતિક કબજા સોંપાયા નથી. કબજાના અભાવે બિલ્ડરો બાંધકામ શરૂ કરી શકતા નથી, જેના કારણે આર્થિક ચિંતા વધી છે. અગાઉ 28 મે, 2024 ના રોજ પણ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા આ સ્કીમને સ્વર્ણિમ યોજના હેઠળ જાહેર કરવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. એસોસિએશનના ચેરમેન વિપુલ જે. પટેલ, પ્રેસિડેન્ટ નિલમ બી. પટેલ અને સેક્રેટરી ધિલનભાઈ જે. પટેલ ઉત્કર્ષ પટેલ ,ચિન્તન પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે કે, શહેરી વિકાસ સત્તામંડળના નિયમો મુજબ ડામર રોડ, ડ્રેનેજ, પાણીની લાઇન અને ગાર્ડન જેવી સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવામાં આવે. આ સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવી ફાઇનલ પ્લોટના કબજા સોંપવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ ઝડપી બનશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:37 pm

ગોધરાના અટલનગરના રહીશોને દબાણ હટાવવાની નોટિસ:154થી વધુ મકાનધારકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરને રજૂઆત કરી

ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના અટલનગર વિસ્તારમાં 154 થી વધુ મકાનધારકોને સરકારી જગ્યા પર દબાણ કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ મળ્યા બાદ સ્થાનિક રહીશોએ આજે, 5 ફેબ્રુઆરીના રોજ, જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. નગરપાલિકાએ ભુરાવાવ વિસ્તારમાં આવેલા અટલનગરના રહીશોને સાત દિવસમાં સરકારી જગ્યા પરના રહેણાંક દબાણો દૂર કરી તેનો રંગીન ફોટોગ્રાફ રજૂ કરવા જણાવ્યું છે.રહીશોએ જિલ્લા કલેક્ટરને મૌખિક અને જિલ્લા અધિક કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 45 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓ નગરપાલિકાના વેરા, વીજ કંપનીના વીજ કનેક્શન અને નગરપાલિકાની પાણીની લાઇનના કનેક્શન પણ ધરાવે છે. જો તંત્ર દ્વારા આ જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવે, તો રહીશોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અથવા તેમને અન્ય જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાના પરિવાર સાથે ત્યાં વસવાટ કરી શકે તેવી માંગણી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:18 pm

ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોતનો મામલો:રાજ્ય સરકારે પરિવારને 10 લાખની સહાય આપી

ડાંગ જિલ્લાના દહેર ગામમાં દીપડાના હુમલામાં પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હતું. ઉત્તર ડાંગ વન વિભાગના લવચાલી રેન્જ હેઠળ આવેલા દહેર ગામના ધામડવિહિર ફળિયામાં 26 જાન્યુઆરીના રોજ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકી રિયાબેન કનેશભાઈ સાલકરનું 29 જાન્યુઆરીના રોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ ઘટના બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક ધારાસભ્યએ દહેર ગામની મુલાકાત લીધી હતી. તેમણે બાળકી રિયાબેન કનેશભાઈ સાલકરના માતા-પિતા અને દાદીને રાજ્ય સરકાર વતી ₹10 લાખનો સહાય ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જણાવાયું હતું કે, કોઈ પણ સહાય મૃતક બાળકીની ખોટ પૂરી કરી શકતી નથી, પરંતુ આ આર્થિક સહાયથી પરિવારને થોડી રાહત મળી શકે તે હેતુસર રાજ્ય સરકાર તેમની સાથે છે. વન વિભાગ, વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ મામલે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઘટનાના તરત બાદ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લવચાલી રેન્જમાં દીપડાને પકડવા માટે છ પાંજરા અને આઠ ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જેના પરિણામે દીપડાને પકડવામાં સફળતા મળી હતી. વન વિભાગ આવા બનાવો ફરી ન બને તે માટે તકેદારીના પગલાં લઈ રહ્યું છે. વન વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દહેર ગામની ઘટનામાં સ્થાનિક લોકોએ વન વિભાગને પૂરતો સહયોગ આપ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 5:00 pm

સાવરકુંડલામાં SIR પ્રક્રિયા મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:પ્રતાપ દૂધાતે MLA મહેશ કલવાલાના કાર્યાલયમાં ફૂલ અર્પણ કર્યા, 8 હજાર મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા અંતર્ગત 8 હજાર જેટલા મતદારોના નામ કમી કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના નેતૃત્વમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 8 હજાર મતદારોના નામ કમી કરવાનો આક્ષેપRTI હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 7 મારફતે આશરે 8 હજાર મતદારોના નામ રદ કરવાની કાર્યવાહી સામે આવી છે. આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેશ કલવાલાના કાર્યાલયમાં ફૂલ અર્પણ કર્યાવિરોધ પ્રદર્શનના ભાગરૂપે, પ્રતાપ દુધાત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલયે પહોંચ્યા હતા. ત્યાં તેમણે કાર્યાલયમાં હાજર લોકોને ફૂલ અર્પણ કરીને અનોખી અને પ્રતીકાત્મક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આ કાર્યવાહીને લોકશાહી પર હુમલો ગણાવી હતી. ચૂંટણી તંત્ર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવીત્યારબાદ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોની રેલી પ્રાંત અધિકારીની કચેરી તરફ કૂચ કરી હતી. રેલી દરમિયાન સરકાર અને ચૂંટણી તંત્ર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવવાની અને કમી કરાયેલા મતદારોના નામ પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયોપ્રતાપ દુધાતે પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ પણ કર્યો હતો, જેના પગલે પરિસ્થિતિ તંગ બની હતી. સંભવિત અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:57 pm

ગોધરામાં મંડપ બાંધતી વખતે વીજ કરંટથી યુવાનનું મોત:શહેરાના 29 વર્ષીય યુવાનને માથાના ભાગે વીજ વાયર અડકી જતા નીચે પટકાયો

ગોધરા તાલુકાના ગોવિંદી વિસ્તારમાં મંડપ બાંધવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી 29 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ ઘટના સાપા રોડ પર આવેલી ગાયત્રી નગર-૩ સોસાયટીમાં બની હતી. શહેરા તાલુકાના બાહી ગામના વતની વિરપાલ સિંહ ઠાકોર મંડપ સર્વિસના કામ અર્થે ગોધરા આવ્યા હતા. ગાયત્રી નગર-૩ માં મંડપ બાંધતી વખતે, ઉપરથી પસાર થતો જીવંત વીજ વાયર તેમના માથાના ભાગે અડી ગયો હતો. વીજ કરંટ લાગતા વિરપાલ સિંહ નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો અને સાથી શ્રમિકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ વિરપાલ સિંહને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:54 pm

પાટણની S.K. કોલેજમાં વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ:ચેસ, કેરમ, રિલે રેસના વિજેતા જાહેર; ક્રિકેટ સેમીફાઇનલમાં

પાટણની એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે સોમવારથી વાર્ષિક રમતોત્સવ સપ્તાહનો પ્રારંભ થયો છે. આ આયોજન 11 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં ચેસ, કેરમ, ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને રિલે રેસ સહિત કુલ 6 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રારંભિક દિવસોમાં જ વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે કોલેજ કેમ્પસમાં ખેલકૂદનો માહોલ જીવંત બન્યો છે. રિલે રેસમાં કુલ 3 ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં BBA-4 ની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચેસ સ્પર્ધામાં 8 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ઉસામા શેખ વિજેતા બન્યા હતા અને મયંક જામાણી રનર-અપ રહ્યા હતા. કેરમ સ્પર્ધામાં 14 ખેલાડીઓ મેદાનમાં હતા, જેમાં ડૉ. કવિતા ત્રિવેદીએ જીત મેળવી હતી અને દિવ્ય ઠક્કર બીજા સ્થાને રહ્યા હતા. બેડમિન્ટન સ્પર્ધામાં બોયઝ કેટેગરીમાં આશિષ દવે અને મયંક જામાણીની જોડી વિજેતા બની હતી. ગર્લ્સ કેટેગરીમાં ઝીલ સોની અને ખુશી મારવાડીની ટીમે વિજય મેળવ્યો હતો. વોલીબોલની સ્પર્ધામાં BBA II, BCOM II અને BBA VI ની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં BBA VI ની ટીમે વિજય હાંસલ કર્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં રમતોત્સવનું મુખ્ય આકર્ષણ છે. કુલ 9 ટીમો વચ્ચે રમાયેલી મેચો બાદ Elite 11, Yodha 11 અને Chavva 11 ટીમોએ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ Panthar 11 દ્વારા આપવામાં આવેલા 135 રનના લક્ષ્યાંકને Royal 11 એ સફળતાપૂર્વક ચેઝ કરીને જીત મેળવી હતી. હવે સૌની નજર ક્રિકેટની ફાઇનલ મેચો પર છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:52 pm

જગન્નાથ મંદિર પાસેથી કતલખાનું ખસેડવા મુસ્લિમ MLAની માગ:ખેડાવાલાએ કહ્યું- હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે શિફ્ટ કરો; પાર્ટી પ્લોટ બનાવવો છે એટલે રજૂઆત કરી: અમિત શાહ

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સૌથી મોટું ઐતિહાસિક રૂ. 17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના શાહવાડી-બહેરામપુરા પાસે રૂ. 32 કરોડના ખર્ચે નવું અદ્યતન કતલખાનું બનાવવા માટેની દરખાસ્તનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણયને પાછો ખેંચી લીધો છે ત્યારે હવે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ કતલખાનાને જમાલપુર જગન્નાથ મંદિર નજીકથી ખસેડી સુએજ ફાર્મ ખાતે બનાવવાની માંગણી કરી છે. એક તરફ ભાજપના ધારાસભ્યએ કતલખાનાને યથાવત રાખવાની માંગણી કરી છે તો બીજી તરફ હિન્દુ ધર્મની લાગણી દુભાઈ નહીં અને મંદિરની નજીકથી કતલખાનું દૂર કરવા કોંગ્રેસના ધારાસભ્યએ માગ કરી છે. ત્યારે હવે આ મામલે રાજકીય વિવાદ સામે આવ્યો છે. મ્યુનિ. કમિશનર ઈમરાન ખેડાવાલાના પ્રેશરમાં આ કામ લાવ્યા: અમિત શાહમ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 32 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં ટીપી નં.32 શાહવાડી બહેરામપુરા ફાઇનલ પ્લોટ નંબર 178માં 15882.13 સ્ક્વેર મીટરમાં અદ્યતન કતલખાનું બનાવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય અમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં જમાલપુરના કતલખાનાને શિફ્ટ કરી શાહવાડી ખાતે નવું બનાવવાની જાહેરાત કરી છે. દર મહિને મ્યુનિસિપલ કમિશનરની સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથેની સંકલન બેઠક યોજાતી હોય છે. આ બેઠકમાં છેલ્લા 3 મહિનાથી જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આ કતલખાનાને ખસેડીને ત્યાં પાર્ટી પ્લોટ બનાવવાની રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના દબાણથી આ કતલખાનું બનાવવાનું કામ લાવ્યા છે. અમારી વિચારધારાથી આ વિપરીત કામ છે. મ્યુનિસિપલ કમિશનરની આ દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે. ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે: ખેડાવાલાતો આ બાબતે દિવ્ય ભાસ્કરે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દર મહિનાના ત્રીજા શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એમ.પી. એમ.એલ.એ.ની સંકલન સમિતિની બેઠકનું આયોજન થાય છે. જેમાં લોકોના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવે છે. ‘જગન્નનાથ મંદિર-ગીતા મંદિરની વચ્ચે જૂનું કતલખાનું કાર્યરત’જમાલપુર જગન્નનાથ મંદિર તેમજ ગીતા મંદિરની વચ્ચેના સ્થળે જૂનું કતલખાનું કાર્યરત છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું આયોજન અમદાવાદ ખાતે જમાલપુર ખાતેથી કરવામાં આવે છે. જમાલપુર ખાતે આવેલા જગન્નાથ નિજ મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે ત્યારબાદ સમગ્ર શહેરની પરિક્રમા કરીને રથયાત્રા મોડી સાંજે નિજ મંદિરે પરત આવે છે જેમાં શહેર તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારો અને ગુજરાત તેમજ સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં સામેલ થવા આવે છે જેમાં અસંખ્ય ભક્તોની આસ્થા અને લાગણી જોડાયેલી છે. લોકોની લાગણી ના દુભાય તે માટે કતલખાનું શિફ્ટ કરવાની માગ કરીવધુમાં તેમણે જણાવ્યું કે પોતે મુસ્લિમ ધારાસભ્ય હોવા છતાં લોકોની લાગણી ના દુભાય તે માટે સુએજ ફાર્મ ખાતે જે પ્લોટ આવેલો છે ત્યાં કતલખાનું લઈ જવાની માગ કરી હતી. તેમણે નવા કતલખાનાની માગ નહીં, પરંતુ સ્થળ બદલવાનું (કતલખાનું શિફ્ટ કરવાનું) કહ્યું છે. હાલમાં આવેલા સ્થળની નજીકમાં જ બે ધાર્મિક મંદિરો આવેલા છે, ત્યાંથી શિફટ કરીને તે સ્થળે પાર્ટી પ્લોટ બનાવવા માંગણી કરવામાં આવી છે. કતલખાના મામલે હાઇકોર્ટે પણ આદેશ કર્યો છે કે હાલમાં જે સ્થળે કતલખાનું આવેલું છે તેની યોગ્ય અને પ્રમાણિત હાઇજેનિક રીતે સારસંભાળ થતી ન હોવાથી તેને અન્ય સ્થળે ખસેડવાનો આદેશ કર્યો છે. શાહવાડી-બહેરામપુરામાં ટીપી 32 ખાતે કતલખાનું બનાવાનું હતુંડ્રાફ્ટ બજેટમાં સમાવિષ્ટ વિગત મુજબ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી-બહેરામપુરામાં ટીપી 32 ખાતે કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેના માટે 32 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ માટે 15882.13 સ્કવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન સહિતના તમામ પાસા ધ્યાને લેવાશે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કંપોડીયમ મુજબના તમામ પાસાઓને સમાવેશ કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો. સ્લોટર હાઉસમાં પશુઓને રાખવા માટે સુવિધાયુક્ત વાડા ઉપરાંત કૂલિંગ તથા ચીલીંગ ફેસેલિટી, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની ફેસેલિટી ઉભી કરવાની પણ યોજના હતી. જમાલપુર સ્લોટર હાઉસમાં રોજ 80થી 90 પશુઓની કતલ કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જમાલપુર ખાતે સ્લોટર હાઉસ આવેલું છે. જેમાં રોજના 80થી 90 જેટલા નાના મોટા પશુઓની કતલ કરવામાં આવતી હોય છે. સ્લોટર હાઉસમાં પશુઓની કતલ માટે બહારથી પશુઓ લાવવામાં આવતા હોય છે અને જે વ્યક્તિ પશુ લાવે છે. તેને મંજૂરી આપવામાં આવે છે, તમામ નીતિ નિયમો પ્રમાણે પશુની કતલ કરી તેના માંસને યોગ્ય રીતે લઈ જવામાં આવતા હોય છે. મોટા પશુ દીઠ 25 રૂપિયા અને નાના પશુના 4 રૂપિયા મ્યુનિ.ની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ જીપીએમસી એક્ટમાં જોગવાઈઓ તેમજ તમામ નીતિ નિયમો મુજબ સ્લોટર હાઉસ ચલાવવામાં આવતું હોય છે. સ્લોટર હાઉસમાં પશુઓની કતલ માટે જે પશુ લાવવામાં આવે છે તેમાં મોટા પશુના પ્રતિ પશુ 25 રૂપિયા અને નાના પશુના 4 રૂપિયા લેખે કોર્પોરેશનમાં જમા કરાવવા પડે છે. સ્લોટર હાઉસમાં માત્ર ભેંસો, ડુક્કર અને ઘેટાની જાતના જ પશુઓની કતલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:51 pm

ગુજરાતની 1.40 લાખ આંગણવાડી - આશા વર્કરની 12 મીએ હડતાલ:રાજ્યના બજેટમાં પગાર વધારાનું એલાન કરવાની આરોગ્ય મંત્રી સમક્ષ માંગ, રાજકોટ કલેકટરને ઉગ્ર રજૂઆત

ગુજરાતની આંગણવાડી, આશા વર્કર અને ફેસીલીટેટર તરીકે ફરજ બજાવતી 1.40 લાખ બહેનોના પગારમાં વધારા કરવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન અપાયું હતુ. રાજ્યના યુનિયન દ્વારા કલેક્ટર મારફત આરોગ્ય મંત્રીને રજૂઆત કરાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 બાદ તો રાજ્ય સરકારે 2022 પછી પગારમાં કોઈ વધારો કર્યો નથી તો ગુજરાતના 16 ફેબ્રુઆરીના બજેટમાં પગાર વધારો જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ દરમિયાન ભારતમાં નવા મજૂર કાયદાઓના વિરોધરૂપ 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ થવાની છે તેમાં આ બહેનો રજા રિપોર્ટ મૂકી જોડાશે અને મામૂલી પગારમાં જીવન નિર્વાહ ચાલી શકે તેમ ન હોવાથી પગાર વધારાની માંગણી કરવામાં આવશે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યુ હતુ કે, આંગણવાડી અને આશા વર્કર દિલ્હી સરકારનો પ્રોજેક્ટ હતો. 2018 માં પગાર વધારો આપ્યા પછી 7 બજેટ રજૂ થઈ ગયા આમ છતાં તેમના માનદ વેતન કે ભથ્થામાં કરવામાં આવ્યો નથી. 2022 માં ચૂંટણી સમયે વધારો આપ્યો ત્યારે વચન આપ્યુ હતુ કે પગાર વધારો થશે. જે બાદ 2025 મુખ્યમંત્રીએ પ્રશ્નોના ઉકેલ આવશે તેવી હૈયાધારણા આપી હતી. જોકે હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. ગુજરાતનું બજેટ 16 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી, આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોના પગારમાં વધારો કરે તેવી માંગણી છે. સરકાર મોબાઇલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઇલમાં કરાવવામાં આવે છે. જો બહેનો તેવું ન કરે તો તમારો પગાર કાપશું અને નોકરીમાંથી કાઢી મૂકશું તેવી ધાકધમકી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 2022 માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી. હેલ્પરને રૂ.6000, આશાવર્કરને રૂ.5500 અને આંગણવાડી વર્કરને રૂ.10000 અને હેલ્પરને રૂ.5500 જ માસિક વેતન આપવામાં આવે છે. આ 1.40 લાખ બહેનો છે. સરકાર આ બાબતે નિર્ણય લાવે તે જરૂરી છે અને આ બહેનોના પ્રશ્ન માટે 12 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. સરકાર નવા મજૂર કાયદાઓ ખૂબ જ ખરાબ અને કામદારોને નુકશાનકર્તા છે. હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં સેવા આપી રહેલા આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ગુજરાતના તમામ ગામડાઓમાં તથા શહેરોની ગરીબ વસ્તીમાં આરોગ્યની સેવા પૂરી પાડી રહ્યા છે તેમજ રસીકરણ સર્વે અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.કોરોના કાળમા આ બહેનોએ ખૂબ જ મુશ્કેલીવાળા સમયમાં પણ મહત્વની કામગીરી બજાવી હતી.તાજેતરમાં આ આશા વર્કર બહેનો પાસેથી જુદી જુદી એપ્લિકેશન મારફત ડિજિટલ કામગીરી કરવા માટેનો આગ્રહ તથા દબાણ કરવામાં આવી રહ્યું છે જોકે તેમને સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યો નથી. આ બહેનોના પ્રશ્નો માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ બેઠક યોજવામાં આવી નથી તેમજ 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા તથા 2022 પછી રાજ્ય સરકાર દ્વારા તેઓને અપાતા નજીવા વેતનમાં કોઈ જ વધારો કરાયો નથી. તેથી અમારી માંગણીઓ સંતોષવામાં આવે તે જરૂરી છે. 1) 2018 પછી કેન્દ્ર સરકાર તથા 2022 પછી રાજ્ય સરકારે તેઓના વેતનમાં કોઈ વધારો કર્યો ન હોય ને તેઓને લઘુતમ વેતન જેટલું વેતન મળી રહે તેવો વધારો કરી આપવા તથા ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવા માટે કાર્યવાહી હાથ ધરવા 2) આશા વર્કર અને ફેસીલીટેટર બહેનોને સમાજ સુરક્ષાના તમામ લાભો આપો3) ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોબાઈલ આપો તેમજ મોબાઈલની ટ્રેનીંગ આપો.4) આશા બહેનોને લઘુતમ વેતન આપો.5) કામના કલાકો નકકી કરો.6) ગ્રેજ્યુઈટી પેન્શન યોજનાનો લાભ આપો.7) દરેક કામગીરીનું મોંધવારી મુજબ ઈન્સેન્ટીવ આપો.8) ડીજીટલ કામગીરી માટે સક્ષમ સાધન અથવા ધરના સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી તેના રીપેરીંગ ખર્ચના રૂપિયા ચૂકવો.9) વર્ષમાં બે જોડી ડ્રેસ તથા સિલાઈનાં ખર્ચની રકમ આપો.10) 2018 થી કેન્દ્ર સરકારમાંથી કોઈપણ વધારો થયો નથી- સ્વાસ્થય મંત્રી જે.પી. નડ્ડાએ સંસદમા જાહેરાત કરેલ તે મુજબ વધારાનું ચુકવણું કરો. તેમાં ફેસીલીએટર બહેનોનો ઉલ્લેખ કરેલ છે કે કેમ તેની સ્પષ્ટતા કરો.11) ફેસીલીટેટર બહેનો સુપરવાઈઝર કક્ષાની કામગીરી કરે છે તેથી તેને તે કેટેગરી મુજબ પગાર ચુકવો.12) ફેસીલીટેટર બહેનોને 20 દિવસનો પગાર મળે છે તો મહિનાના બાકી દિવસો જે કામ કરે છે તે મુજબ બાકીના દિવસોનું ચુકવણું કરવામાં આવે.13) 2019 માં ફેસીલીએટર બહેનોને ડ્રેસ જાહેર કર્યો હતો પણ હજી સુધી ડ્રેસ-ચુકવણું કરવામાં આવેલ નથી. સારી કવોલીટીના ડ્રેસ આપવામાં આવે.14) હાલ ઓનલાઈન કામગીરી કોઈ જગ્યાએ થતી નથી તો દરેક ઓફલાઈન કામગીરીનું ચુકવણું કરવામાં આવે.15) જે ઈન્સેન્ટીવનું કામ લીધેલું છે તેના નાણા ચુકવવા જોઈએ ધણા ઈન્સેન્ટીવના નાણા ચુકવેલ નથી તે ચુકવણું કરવામાં આવે.16) પગાર વધારો નિયમિત ચુકવવામાં આવે. 1 થી 10 તારીખ સુધીમાં ચુકવો.17) બીજા રાજયોની સરખામણીમાં પગાર ઓછો હોય છે તો રાજય સરકાર ધ્વારા મોંઘવારીને ધ્યાને લઈને પગાર વધારો કરવામાં આવે. વર્ષ 2022 માં આશા વર્કરોની લાગણીને ધ્યાનમાં રાખીને હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે પણ તારીખ 10 મી માર્ચ 2025 ના રોજ મુખ્યમંત્રી સમક્ષ પ્રતિનિધી મંડળ દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે અને તે સમયે પ્રશ્નોના ઉકેલ લાવવા માટે હૈયાધારણા આપી હતી પરંતુ તે દિશામાં પછી કોઈ બેઠક યોજાઈ નથી અને તેથી અમે આગ્રહ પૂર્વક વિનંતી કરીએ છીએ કે 1.40 લાખ જેટલી આશા વર્કરો તથા ફેસિલિટેટરની માગણીઓના અનુસંધાનમાં બેઠક યોજવામાં આવે અને જ્યાં સુધી મોબાઈલ ન આપવામાં આવે ત્યાં સુધી ડિજિટલ કામગીરીનો આગ્રહ ન રાખવા માટે વિનંતી કરવામાં આવે છે. આ નિર્ણય બજેટ બેઠકમાં જ થાય તે માટે પણ અમારો આગ્રહ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:50 pm

વલસાડમાં 3 વર્ષ જૂનો બ્રિજ બિસ્માર:કોન્ટ્રાકટરની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ જાતે જ સમારકામ કરી વિરોધ નોંધાવ્યો

વલસાડ તાલુકાના અતુલ અને દિવેદ ગામને જોડતો બ્રિજ લોકાર્પણના માત્ર ત્રણ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો છે. સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં છેવટે ગ્રામજનોએ અને વાહન ચાલકોએ જાતે જ બ્રિજનું સમારકામ કરીને વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 2023માં જ ખુલ્લો મુકાયેલો આ બ્રિજ અત્યંત ખરાબ હાલતમાં છે. બ્રિજ પરનો સિમેન્ટ કોંક્રિટનો વેરિંગ કોટ ઉખડી ગયો છે, જેના કારણે મોટા ગાબડાં પડ્યા છે અને અંદરના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ બ્રિજની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. લાંબા સમયથી બ્રિજની આ ખરાબ હાલત વાહનચાલકો માટે જોખમી બની હતી, જેના કારણે સ્લિપ થવાના અને અકસ્માતોના બનાવો વધ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ સરપંચથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ છે. ફરિયાદો પર ધ્યાન ન અપાતા, ગુરુવારે દિવેદ ગામના લોકો પાવડા અને તગારા લઈને એકઠા થયા હતા. તેમણે બ્રિજ પર પડેલા ગાબડામાં જાતે RCC ભરીને સમારકામ શરૂ કર્યું. આ રીતે ગ્રામજનોએ તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાથી રાત્રિના સમયે ગાબડા દેખાતા નથી, જેના કારણે અગાઉ જીવલેણ અકસ્માત પણ થઈ ચૂક્યો છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી હલકી કક્ષાનું કામ થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિક રહેવાસી વિકીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમે વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. અગાઉ એક વ્યક્તિનો જીવ પણ ગયો છે. તંત્ર કામ ન કરતું હોય તો અમારે જ જાગવું પડે, એટલે અમે જાતે જ સિમેન્ટ ભરી દીધું.” ગ્રામજનોના આ વિરોધ બાદ વહીવટી તંત્ર જાગૃત થાય છે કે કેમ તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:44 pm

ઓનલાઇન સટ્ટા આઈ.ડી. પર જુગાર રમતા બે ઝડપાયા:પાટણના પંચમુખી કોમ્પ્લેક્ષ પાસે LCBનો દરોડો, 8 હજારનો મુદ્દામાલ જપ્ત

પાટણ શહેરમાં ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા છે. વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પંચમુખી કોમ્પ્લેક્ષ પાસેથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જુગાર રમતા હાર્દિક સુવાસભાઈ વ્યાસ અને કનુભાઈ મોહનભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 8,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે પંચમુખી કોમ્પ્લેક્ષ પાસે બે શખ્સો મોબાઈલમાં હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી બંને શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે બંનેના મોબાઈલ ફોન તપાસતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝર પર ઓનલાઇન જુગારની આઈ.ડી. ખુલ્લી જોવા મળી હતી. હાર્દિક વ્યાસના મોબાઈલમાં D247.COM નામની આઈ.ડી. પર '32 કાર્ડસ' ગેમમાં સટ્ટો રમાતો હતો, જ્યારે કનુભાઈ ચૌધરીના મોબાઈલમાં 'all panelexch' આઈ.ડી. પર જુગાર રમાતો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આ બંને શખ્સોને વોટ્સએપ મારફતે મોબાઈલ નંબર 81288039236 વાળા એક અજાણ્યા શખ્સે આઈ.ડી. લિંક મોકલી આપી હતી. આ જ શખ્સ આ આઈ.ડી.માં બેલેન્સ પણ કરી આપતો હતો. જુગારના પૈસાની લેવડ-દેવડ ફોન પે દ્વારા કરવામાં આવતી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કુલ 8,000 રૂપિયાના બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આઈ.ડી. લિંક પુરી પાડનાર અજાણ્યા મોબાઈલ ધારક સહિત કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) મુજબ પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:40 pm

ભરૂચ RTOની કાર્યવાહી, 94 વાહનચાલકોને 4.70 લાખનો દંડ:ગેરકાયદેસર સફેદ LED લાઇટ લગાવવા બદલ વસૂલાયો દંડ

ભરૂચ RTO દ્વારા ગેરકાયદેસર સફેદ LED લાઇટ લગાવનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 94 વાહનચાલકોને કુલ ₹4.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગના પરિપત્ર બાદ RTO તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ RTO કચેરી દ્વારા 23 જાન્યુઆરીથી સઘન ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું. ARTO પી.આર. પઢિયારના માર્ગદર્શન હેઠળ RTO ઇન્સ્પેક્ટરોની ટીમો બનાવી શહેર અને હાઇવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નાના-મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી સફેદ LED લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી. ARTO પી.આર. પઢિયારે જણાવ્યું હતું કે વાહનચાલકોએ કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની LED લાઇટોનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બની શકે છે. તેમણે લોકોને ગેરકાયદેસર LED લાઇટો દૂર કરવા અપીલ કરી હતી. RTO તંત્રએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો, નેશનલ હાઇવે અને શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રી ચેકિંગ વધુ સઘન બનાવાશે. જો વાહનચાલકો સ્વયં આવી લાઇટો દૂર નહીં કરે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:39 pm

ગઢડાના જલાલપુરમાં પાણીના ખાડામાં ડૂબી જતા બે બાળકીઓના મોત:બાબરાના ખંભાળાનો માલાધારી પશુઓ ચરાવવા આવ્યો હતો, બે માસૂમોના મોતથી પરિવારમાં શોકનો માહોલ

ગઢડા તાલુકાના જલાલપુર ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત થયા છે. આ ઘટનાથી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતક બાળકીઓની ઓળખ રિદ્ધિબેન પોપટભાઈ સોરીયા (ઉંમર ૭ વર્ષ) અને ગોપીબેન પોપટભાઈ સોરીયા (ઉંમર ૫ વર્ષ) તરીકે થઈ છે. આ બાળકીઓનો પરિવાર મૂળ બાબરાના ખંભાળા ગામનો માલધારી પરિવાર છે. તેઓ પશુઓ ચરાવવા માટે જલાલપુર આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બંને બહેનો રમતી હતી ત્યારે અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી, જેના કારણે તેમનું ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ઢસા ૧૦૮ ટીમ દ્વારા બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઢસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી મૃતક બાળકીઓના સગા કમુબેને આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:37 pm

ગોધરામાં LC-4, LC-5 ફાટક કામગીરીની સમીક્ષા બેઠક:જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સેવાસદન કચેરી ખાતે યોજાઈ

ગોધરા શહેરમાં LC-4 અને LC-5 ફાટક પર બની રહેલા અંડરબ્રિજની કામગીરીની સમીક્ષા બેઠક ૫ ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન કચેરી ખાતે આ બેઠક યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરા ભાગોળ (LC-4) અને દશામાં ફાટક (LC-5) પરના અંડરબ્રિજ નિર્માણમાં આવી રહેલી ટેકનિકલ અને નોન-ટેકનિકલ મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો હતો. આ સમીક્ષા બેઠકમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, ગોધરા પ્રાંત અધિકારી નિરીલ મોદી, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર, રેલવે વિભાગના ઇજનેરો તેમજ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે બંને ફાટક પરની કામગીરીમાં ઝડપ લાવવા અને વહેલી તકે પૂર્ણ કરવા માટે વિવિધ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, દશામાં ફાટક પર જમીન સંપાદનના પ્રશ્નનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે માર્ગ અને મકાન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:30 pm

ગોધરા પોલીસે 9 ગુમ મોબાઇલ શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ અરજદારોને પરત કરાયા

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે ગુમ થયેલા 9 મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરત કરાયેલા ફોનની કુલ કિંમત આશરે 2.93 લાખ રૂપિયા છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ગુમ થવા કે ચોરી થવાના બનાવોને રોકવા માટે વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસૈયાએ કામગીરી સંભાળી હતી.પોલીસે ગુમ થયેલા મોબાઇલની અરજીઓનું સંકલન કર્યું હતું અને 'સંચાર સાથી પોર્ટલ' પર અપલોડ કરીને ટેકનિકલ માહિતી મેળવી હતી. આ ટેકનિકલ તપાસ અને સતત પ્રયત્નોના પરિણામે 9 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.ગોધરા શહેર એ ડિવિઝન પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને પોલીસની કાર્યક્ષમતા પ્રદર્શિત થઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:29 pm

ગોધરામાં NSUI અને યુવા કોંગ્રેસનું અભિયાન:ITI અને મેકેબ શાળાના વિદ્યાર્થીઓએ નશાબંધીના શપથ લીધા

ગોધરામાં NSUI અને પંચમહાલ યુવા કોંગ્રેસ દ્વારા નશાબંધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અંતર્ગત ગોધરા શહેરની સરકારી ITI કોલેજ અને મેકેબ મેમોરિયલ શાળાના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ અભિયાન ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને અટકાવવા અને નિયંત્રિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં જાગૃતિ લાવવાનો અને તેમને નશાના દુષ્પરિણામોથી માહિતગાર કરવાનો છે. બંને સંસ્થાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં જોડાઈને તેને સમર્થન આપ્યું હતું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સામાજિક આગેવાન શ્રી અજીતસિંહ ભાટીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપી શપથ વાંચન કરાવ્યું હતું. પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફાએ અભિયાનનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓને નશાના દૂષણોથી દૂર રહેવા આહ્વાન કર્યું. સરકારી ITI કોલેજના શિક્ષકો અને મેકેબ મેમોરિયલના આચાર્ય સુરેશ સાહેબ સહિતના સ્ટાફે યુવાનોમાં જાગૃતિ લાવવાના આ મહત્વપૂર્ણ કાર્યમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:26 pm

બોટાદ દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે દોરડાથી બાંધી ફેરવ્યો:12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું રિ-કન્સ્ટ્રક્શન, પોલીસે ઝીણવટભરી માહિતી મેળવી

બોટાદમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસે આરોપી જેરામ ઈશ્વર ભાલાળાનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ઘટનાક્રમ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને સગીરાને કયા સ્થળે અને કેવી રીતે લઈ ગયો હતો તે અંગેની માહિતી એકત્રિત કરી હતી. આ રીકન્સ્ટ્રક્શનમાં બોટાદના DYSP મનીષા દેસાઈ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. આ ઘટના ગત 2 ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. સગીરા કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર આરોપીએ તેને પકડીને બાજુના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. દુષ્કર્મ આરોપીના રીકન્સ્ટ્રક્શન અંગે બોટાદ DYSP મનીષા દેસાઈએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:24 pm

તડીપાર ગુજસીકોટ આરોપીના બંધ મકાનને પેટ્રોલ છાંટી સળગાવ્યું?:વેરાવળની મિર્ઝા કોલોનીમાં આગની ગંભીર ઘટના, અમુક લોકોએ પેટ્રોલ છાંટી આગ લગાવ્યાનો પરિવારનો આક્ષેપ; પોલીસે તપાસ હાથ ધરી

વેરાવળ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા કરે એવી ઘટના સામે આવી છે. અલીભાઈ સોસાયટીના ડી.પી. રોડ પર આવેલ મિર્ઝા કોલોની વિસ્તારમાં તડીપાર ગુજસીકોટ આરોપીના બંધ રહેણાંક મકાનને કથિત રીતે અજાણ્યા શખ્સો દ્વારા પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યાના આક્ષેપ થઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, મિર્ઝા કોલોનીમાં આવેલ આ મકાન યાકુબ મહંમદ તાજવાણીનું છે, જે સામે ગુજસીકોટ હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. યાકુબ તાજવાણી હાલ તડીપાર હોવાથી રાજકોટ ખાતે રહે છે. તેમનું આ મકાન છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, યાકુબ તાજવાણીની ગુજસીકોટ હેઠળ ધરપકડ થયા બાદ તેમના પરિવાર પર સામાજિક અને માનસિક દબાણ વધ્યું છે. પરિવારના આક્ષેપ મુજબ યાકુબની પત્ની હલીમાં તેમના પ્રેમી સોહિલ ઉર્ફે ચક્કી સાથે ચાલીને ગઈ હતી, જ્યારે યાકુબનો એક પુત્ર પોતાની નાની પાસે રહે છે. આજરોજ વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યાના સુમારે બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ કંટ્રોલ રૂમ મારફતે વેરાવળ ફાયર બ્રિગેડને માહિતી અપાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની તીવ્રતાને કારણે મકાનની સમગ્ર ઘરવખરી બળી ને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટનાને લઈ યાકુબ તાજવાણીના ભાભી આશિયા તાજવાણીએ આક્ષેપો કર્યા કે, કેટલાક ચોક્કસ લોકો દ્વારા મકાનમાં પેટ્રોલ છાંટી ઇરાદાપૂર્વક આગ લગાવવામાં આવી છે. આ ઘટનાને તેઓ પૂર્વયોજિત હુમલો ગણાવી રહ્યા છે. આશિયા તાજવાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પરિવારના પતિ અને બે દેવર સહિત ત્રણ પુરુષો ગુજસીકોટ હેઠળ તડીપાર છે અને હાલમાં ઘરમાં માત્ર મહિલાઓ રહે છે. આવી પરિસ્થિતિમાં હુમલાખોરો દ્વારા મહિલાઓને નુકસાન પહોંચાડવામાં આવે તેવી ગંભીર દહેશત પરિવારજનોએ વ્યક્ત કરી છે. હાલ વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વેરાવળ સીટી પોલીસ ઈન્સ. ગઢવીનો સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે સ્ટેશન ડાયરીમાં જાણવાજોગ એન્ટ્રી કરી છે અને વિશેષ નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગ અકસ્માતે લાગી કે ઈરાદાપૂર્વક આગચાંપી કરવામાં આવી છે તે દિશામાં પોલીસ સીસીટીવી ફૂટેજ, આસપાસના લોકોના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 4:04 pm

લીમખેડામાં પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:પ્રભારી સચિવે તમામ વિભાગોને સંકલન સાથે કામ કરી વાસ્તવિક લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચાડવા સ્પષ્ટ સૂચના આપી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પ્રાંત કચેરી ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી સચિવ બેનિવાલે જિલ્લામાં હાથ ધરવામાં આવેલી સર્વે કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીની ચકાસણી કરવામાં આવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી પથિક દવેએ પ્રેઝન્ટેશન દ્વારા સર્વે અને યોજનાકીય અમલની સંપૂર્ણ માહિતી રજૂ કરી હતી. પ્રભારી સચિવે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MDPI) હેઠળ આવતા લોકોને ગરીબીની સ્થિતિમાંથી બહાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને સહિયારા પ્રયાસો કરવા સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના વાસ્તવિક પ્રશ્નોને સમજી તેમના સર્વાંગી વિકાસ માટે યોજનાઓનો અસરકારક અમલ કરવા માર્ગદર્શન અપાયું હતું. વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સમયસર લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓને પોતાના વિભાગ દ્વારા થતી કામગીરીની ફિલ્ડ વિઝિટ કરીને ચકાસણી અને વેરિફિકેશન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે કામગીરીની યાદી તૈયાર કરી આગોતરા આયોજન સાથે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કલેક્ટરે ચેતવણી આપી હતી કે ખોટી કામગીરી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી પારદર્શકતા અને નીતિ-નિયમો મુજબ કામગીરી થાય. આ બેઠકમાં પ્રવાસન જેવા મહત્વના વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે હેતુથી નાળધા ધોધ, ઉધાલ મહુડા, રતનમહાલ અને સાગટાળા જેવા પ્રવાસન સ્થળોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું હતું. પ્રવાસીઓ માટે રહેવા, જમવા અને ફરવાની સુવિધાઓ વિકસાવવા તેમજ સ્થાનિક કલા અને હસ્તકલા સાથે જોડાયેલી રોજગારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:52 pm

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના માટે નવી અરજીઓ શરૂ:336 રદ થયેલા આવાસોની પુનઃ ફાળવણી કરાશે, 28 ફેબ્રુઆરી સુધી અરજી કરો

મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ લીલાપર રોડ પરના 336 આવાસો માટે નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ આવાસોની પુનઃ ફાળવણી માટે જરૂરિયાતમંદ ઘરવિહોણા શહેરીજનો અરજી કરી શકશે. વર્ષ 2017માં અમલમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લીલાપરના સર્વે નં. 1116ની જગ્યામાં કુલ 400 આવાસોનું નિર્માણ થયું હતું. આ આવાસોનો સમયાંતરે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.સર્વે દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક આવાસો લાભાર્થી સિવાય અન્ય વ્યક્તિઓ દ્વારા કબજે કરાયા હતા, જ્યારે કેટલાક લાભાર્થીઓ દ્વારા આવાસનો કાયમી ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અથવા તેની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, 400 આવાસોનો રી-સર્વે કરીને તેમાંથી 336 આવાસો રદ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રદ થયેલા આ 336 આવાસો માટે હવે નવી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ ઘરવિહોણા શહેરીજનો EWS-1 પ્રકારના આવાસ મેળવવા માટે અરજી અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અરજદારોએ 28 ફેબ્રુઆરી સુધીમાં મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગમાં સંબંધિત દસ્તાવેજો સાથે અરજી જમા કરાવવાની રહેશે. નવી અરજીઓ માટે નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરીને સરકારના ધારાધોરણ મુજબ આવાસોની પુનઃ ફાળવણી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:48 pm

કલાકાર બાદ હવે સરપંચે કર્યો ઠાકોર સમાજના બંધારણનો ભંગ?:પાટણમાં સરપંચના લગ્નમાં MLA લવિંગજીની હાજરી, મીડિયાને કહ્યું-'DJ નહોતું ખાલી રાસ-ગરબા રાખ્યાં હતા'

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના નિયમોના ભંગના આક્ષેપોનો મામલો સામે આવ્યો છે. ગામના યુવા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં રાસ-ગરબા અને ડીજેનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિયમોનો ભંગ થયો હોવાના આક્ષેપો ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલા નવા સામાજિક બંધારણ મુજબ, લગ્ન પ્રસંગોમાં ડીજે અને રાસ-ગરબા જેવા ખર્ચાળ આયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં, કોરડા ગામના સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નમાં આ નિયમોનો ભંગ થયો હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપો થઈ રહ્યા છે. સમાજનું બંધારણ નથી તૂટ્યું નથી: લવિંગજી ઠાકોરઆ મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દીકરીના લગ્ન હોવાથી માત્ર રાસ-ગરબા રાખવામાં આવ્યા હતા અને કોઈ ડીજે વગાડવામાં આવ્યું ન હતું, ફક્ત કલાકારની રીધમ હતી. 'મને અગાઉથી કોઈ જાણકારી નહોતી'ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ રાત્રે ત્યાં ગયા હતા પરંતુ તેમને આ પ્રકારના આયોજન અંગે અગાઉથી કોઈ જાણકારી નહોતી. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે આગામી સમયમાં સમાજના લોકો ભેગા મળીને જે તે જવાબદારોને ઠપકો આપવાની કાર્યવાહી કરશે. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરો કલાકાર ગબ્બર-અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા મહત્વનું છે કે, ડીસાના ઝાબડિયા ગામના કલાકાર બંધુઓ દ્વારા બે દિવસ અગાઉ સમાજના બંધારણનું ઉલ્લઘન થતાં ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. જે મામલે ગઇકાલે જૂના ડીસાના ઝાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરને સમાજે એક વર્ષ માટે સમાજ બહાર કર્યા છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:45 pm

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે તબેલો !:હવાઈ મુસાફરોના એક્ઝિટ ગેટ પાસે જ પશુઓના આંટાફેરાનો વીડિયો વાયરલ

આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે તબેલો ? રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત એરપોર્ટ પર હવાઈ મુસાફરો જ્યાંથી એકઝીટ કરે છે તે ગેટ પાસે જ પશુઓના આંટાફેરાનો વિડિયો વાયરલ થયો છે. જેનાથી એરપોર્ટ ઓથોરિટીની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરને પૂછવામાં આવતા તેમને કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 11 સહિત 13 ફ્લાઇટ ઉડાન ભરે છે. આ એરપોર્ટ જંગલ વિસ્તારમાં નિર્માણ પામ્યું હોવાથી અહીં પશુઓની સાથે વન્યજીવો પણ જોવા મળે છે. જોકે અહીં સિક્યુરિટીની બહુ મોટી ખામી હોય તેમ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ પાસે જ 2 ગૌ માતાની લટારનો વિડીયો વાયરલ થયો છે. જેમાં હવાઈ મુસાફરો એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યા છે. બસ અને કારમાં મુસાફરો જતા હોય છે અને પશુઓ આડે આવતા તેમને કાર રોકી દેવી પડે છે અને બાદમાં હવાઈ મુસાફરો નિકળે છે. રાજકોટ એરપોર્ટ પરથી હાલ ઉડાન ભરતી 13 ફ્લાઇટ ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાનIGO 6557/6558 - દિલ્હી - 8.05 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિકIGO 6133/49FY - મુંબઈ - 9.00 - દૈનિક IGO 6241/6245 - પુણે 10.25 - મંગળ, ગુરૂ, રવિવારAIC 885/886 - દિલ્હી - 10.10 - બુધવાર સિવાયના દિવસોમાંIGO 6372/155 - ગોવા - 12.00 - દૈનિકIGO 154/6371 હૈદરાબાદ - 15.55 - દૈનિકIGO 6507/312J- બેંગલોર - 16.15 - દૈનિકIGO 936/937 - મુંબઈ - 16.55 - દૈનિકAIC 2730/2731 - મુંબઈ - 18.05 - દૈનિકIGO 5025/527J - દિલ્હી- 17.55 - દૈનિકAIC 2537/2538 - દિલ્હી - 20.05 - દૈનિકIGO 317F/274 - મુંબઈ - 19.55 - દૈનિક

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:41 pm

મોરબીમાં નેત્રયજ્ઞ કેમ્પમાં 267 દર્દીઓએ લાભ લીધો:જલારામ ધામ ખાતે 131 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા

મોરબીના જલારામ ધામ ખાતે દર મહિનાની 4 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ અંતર્ગત તાજેતરમાં એક કેમ્પ યોજાયો હતો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આ સર્વજ્ઞાતિય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં 267 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 131 દર્દીઓને નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ સહિતના નિષ્ણાત ડોકટરો દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, તેમજ રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને દવાના ટીપાં સહિતની તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.આ માસનો કેમ્પ સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ પ્રસંગે અશ્વિનભાઈ કારીયા, રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, હાર્દિકભાઈ કારીયા, ભરતભાઈ મીરાણી, નિલેશભાઈ ખખ્ખર, અજયભાઈ કોટક, હર્ષદભાઈ બુદ્ધદેવ, જ્યોતિબેન મીરાણી અને બંસીબેન મીરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:40 pm

એજન્ટે યુવાનને EWSનું ડુપ્લીકેટ સર્ટિફિકેટ પકડાવ્યું:સુરતના મોટા વરાછા મામલતદાર કચેરીના નામે બોગસ EWS પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જનસેવા કેન્દ્ર પર ભાંડો ફુટતા ધરપકડ

સુરતના મોટા વરાછા ખાતેની મામલતદાર કચેરીમાં સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરી નકલી પ્રમાણપત્ર બનાવવાનું વ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું છે. એક એજન્ટે ડિજિટલ ગુજરાત પોર્ટલની પીડીએફ ફાઇલમાં મામલતદારની સહી અને કચેરીના સિક્કા કોમ્પ્યૂટરમાં એડિટ કરી બોગસ EWS (આર્થિક રીતે નબળા વર્ગ)નું પ્રમાણપત્ર બનાવી આપ્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે નાયબ મામલતદારે એજન્ટ વિરુદ્ધ ઉત્રાણ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે યુવક નિકુંજ ભૂવાની ધરપકડ કરી છે. મામલતદારની સહી સિક્કા સાથેનું નકલી પ્રમાણપત્ર બનાવ્યુંમોટા વરાછાના રહેવાસી હુસૈન અહમદ બાંગીએ EWS પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાં પુરાવાઓના અભાવે કચેરી દ્વારા આ દાખલો ઇશ્યૂ કરવામાં આવ્યો ન હતો. ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ હુસૈન બાંગી જનસેવા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ઓપરેટર પાસે અસલ દાખલાની માંગણી કરી હતી. ઓપરેટરે રેકર્ડ તપાસતા મામલતદારની સહી ન હોવાનું જણાવ્યું હતું. આ સમયે અરજદારે તેના મોબાઇલમાં મામલતદારની સહી-સિક્કાવાળો ફોટો બતાવતા તંત્ર ચોંકી ઉઠયું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે કરેલી અરજદારની પૂછપરછમાં આ ફોટો તેને એજન્ટે આપ્યો છે. સ્થળ પર હાજર એજન્ટ નિકુંજ વિનુભાઇ ભૂવા (રહે. દ્વારકાધીશ સોસાયટી, કોસાડ- મૂળ રહે. સાણથલી, તા. જસદણ, જિ. રાજકોટ)ને પકડી મામલતદાર કેતન જે નાયકની રૂબરૂ રજૂ કરાયો હતો. જેમાં એજન્ટ નિકુંજ ભૂવાએ કબૂલાત કરી હતી કે તેણે પીડીએફ ફાઇલમાં છેડછાડ કરી મામલતદારની સહી અને સિક્કા એડિટ કરીને આ નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ નકલી દાખલાનો ઉપયોગ ટેટની પરીક્ષામાં ડોક્યુમેન્ટ તરીકે પણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. એજન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યોમોટા વરાછા મામલતદાર કચેરીના નામે ગેરરીતિ આચરવામાં આવતા નાયબ મામલતદારે નિકુંજ ભૂવા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સરકારી અધિકારીની સહી અને સિક્કાનો દુરુપયોગ કરી નકલી દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે ગુનો નોંધી આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નિકુંજને ઉત્રાણ પોલીસે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:34 pm

7-8 ફેબ્રુઆરીએ પાટણમાં રાણીની વાવ ઉત્સવ:વર્લ્ડ હેરિટેજ સાઈટ પર ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે

પાટણમાં 7 અને 8 ફેબ્રુઆરી, 2026ના રોજ રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ દ્વિદિવસીય મહોત્સવ યોજાશે. યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો તેની યાદમાં આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે થશે. ઉત્સવ દરમિયાન રાણીની વાવને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમની વિગતો અનુસાર, 7 ફેબ્રુઆરીના રોજ બલરાજ શાસ્ત્રી એન્ડ ગ્રુપ દ્વારા સંગીતની પ્રસ્તુતિ કરાશે. આ ઉપરાંત, ભરૂચનું સુપ્રસિદ્ધ સીદી ધમાલ લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવશે. મહોત્સવના બીજા દિવસે, 8 ફેબ્રુઆરીએ ઋષભ આહીર એન્ડ ગ્રુપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. પાટણ જિલ્લા વહીવટીતંત્રએ આ સાંસ્કૃતિક વારસાના મહોત્સવમાં સહભાગી થવા માટે જિલ્લાના તમામ નાગરિકોને આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:31 pm

'નોનસેન્સ, શું સમજો છો તમારી જાતને', ચીફ ઓફિસરનો બાટલો ફાટ્યો,VIDEO:જૂનાગઢની વિસાવદર નગર પાલિકામાં જોવા જેવી થઈ, ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ બાખડી પડ્યા

​વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલે બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી પોલીસમાં અરજી કરી છે. એક તરફ છરી બતાવી હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે તો બીજી તરફ ગેરકાયદે કામો માટે દબાણ અને ગાળાગાળીના આક્ષેપો કરવામાં આવ્યા છે. ​ટેન્ડર અને વિકાસ કામો મુદ્દે વિવાદ વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસ કામોના ટેન્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા, જે બાબતે રજૂઆત કરવા તેઓ અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસર પાસે ગયા હતા. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ ઉશ્કેરાઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ટેબલ પર પડેલી છરી કે કટર વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. પાંચ ટર્મથી હું ચૂંટાવ છું અમે લોકોના કામ માટે ગયા હતા. ઉપપ્રમુખ અને ચીફઓફિસર એકબીજા પર ગંભીર આક્ષેપસામે પક્ષે ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉપપ્રમુખ અને તેમની સાથે આવેલા લોકો એન્જિનિયર દ્વારા થતા કામોમાં દખલગીરી કરી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે કામો કરવા અને ખોટા બિલો પાસ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જ્યારે નિયમ મુજબ કામ કરવાનું કહ્યું ત્યારે ઉપપ્રમુખ અને તેમના સાથીઓએ ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું હતું. ચીફ ઓફિસરે 'નોનસેન્સ, ગેટ આઉટ' કહીને તેમને ચેમ્બરની બહાર નીકળી જવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસરતા પાલિકાની આબરૂના ધજાગરા ઉડ્યા છે. ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખસો સામે અને સામા પક્ષે ચીફ ઓફિસર સામે પણ પોલીસમાં અરજી કરવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષની રજૂઆત નોંધીને વાયરલ વીડિયોના આધારે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:28 pm

વૃધ્ધ દંપતીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ પડાવ્યા'તા:રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત ક્લાર્કને ગોલ્ડલોન લેવડાવી પૈસા પડાવ્યા, વધુ એક આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો, અગાઉ 3 આરોપીની પોલીસે ધરપકડ કરી'તી

સાયબર ગઠિયાઓએ રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88.50 લાખની છેતરપિંડી આચરી હતી જેમાં આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપી મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં આખી જિંદગી જેલમાં રહેવાની વૃદ્ધ કપલને ધમકી આપી ફસાવ્યા હતા અને બાદમાં ગોલ્ડલોન લેવડાવી વૃધ્ધ દંપતી પાસેથી રૂપિયા પડાવ્યા હતાં. આ કેસમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના એકાઉન્ટમાં ફરિયાદીના કુલ 8 લાખ રૂપિયા જમા થયા હતા અને આ ઉપરાંત અન્ય 21 જેટલા અલગ અલગ રાજ્યોના ફ્રોડ ટ્રાન્ઝેક્શન આરોપીના બેન્ક એકાઉન્ટમાં થયા હોવાનું સામે આવ્યું છે જે માટે તેને રૂપિયા 1.50 લાખનું કમિશન પણ મળ્યું હતું. રાજકોટના સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ NDPSના કેસમાં ફસાવી દેવાની તેમજ મની લોન્ડ્રીંગના કેસમાં જેલમાં જવું પડશે કહી દિલ્લી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂપિયા 88.50 લાખ પડાવી લેવામાં આવ્યા હતા જેમાં અગાઉ પોલીસે ત્રણ આરોપી બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આજે વધુ એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષી (ઉ.વ.22)ની મધ્યપ્રદેશ ઇન્દોર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષી (ઉ.વ.22) પોતે અભ્યાસ કરતો હોવાનું અને તેના એકાઉન્ટમાં ફરિયાદી દિનેશભાઇ દેલવાડીયાના કુલ 8 લાખ રૂપિયા જમા થયા હતા. આ ઉપરાંત આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીના એકાઉન્ટમાં અલગ અલગ રાજ્યોમાંથી ફ્રોસની રકમના કુલ 21 ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ માટે આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીને રૂપિયા 1.50 લાખ કમિશન પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે તેની ધરપક કરી રિમાન્ડ મેળવી મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તજવીજ હાથ ધરી છે. ફરિયાદી દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.69)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ સેસન્સ કોર્ટમાં આશીસ્ટન્ટ કલાર્ક તરીકે નોકરી કરતો હતો હાલ રીટાયર્ડ છુ અને બોલબાલા ટ્રસ્ટમા છેલ્લા 5 વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા આપુ છુ. ગત તા.08.07.2025ના રોજ હું તથા મારી પત્ની ઘરે હતા ત્યારે સવારના 8 વાગ્યા આસપાસ મને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યુ હતું કે હુ ટેલીફોન વિભાગમાંથી બોલુ છુ અને તમને 10 મીનીટ પછી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે તમે તેની સાથે વાત કરી લેજો તેવુ કહી ફોન કટ કરી દીધો હતો. 10 મીનીટ પછી એક અજાણ્યા વ્હોટ્સઅપ નંબરથી ફોન આવ્યો અને હુ દિલ્હી ક્રાઇમ બ્રાંચમાથી બોલુ છુ તેમ કહી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં સંદીપ કુમાર જે ICICI BANK મેનેજર હતા તેઓ વિરૂધ્ધ મની લૉડરીંગનો ગુનો દાખલ થયો છે અને સંદીપકુમારે જે ફ્રોડ કરેલ છે તેમાથી તમને સંદિપકુમારે 10% હીસ્સો આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમા નીવેદન આપ્યું છે. સંદીપ કુમારના ઘરે રેઇડ કરતા આઠ મીલીયન રોકળ રકમ, 180 જુદી જુદી બેંકોની પાસબૂક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો, તથા મોટા જથ્થાનું ડ્રગ્સ કબ્જે કરેલ છે જેના હિસ્સેદાર તમે પણ છો અને આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી અમોને મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. ઘરે હું તથા મારી પત્ની એકલા રહેતા હોય જેથી અમે ડરી ગયા હતા અને આ બાબતે અમે તે સમયે કોઇને વાત કરી ન હતી. થોડીવાર પછી મારી પત્નીના મોબાઇલમા વોટસએપમાં કોઈ આરોપીને પકડેલ હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલ્યા હતા અને અમને જણાવ્યું કે આ વાત કોઇને કરતા નહી જો કોઈને કહેશો તો અમો ત્યા આવીને તમને એરેસ્ટ કરીશુ. ત્યારબાદ મને જણાવ્યું કે તમારા બેંક એકાઉમા 10% વાળી રકમ આવેલ છે કે નહી તે જાણવા માટે હું એક એકાઉન્ટ નંબર મોકલુ છુ તેમા તમારે રૂ.8,00,000 જમાં કરાવવાના છે કહી સેંટ્રલ બેંક ઓફ ઇંડીયા એકાઉન્ટ નંબર મોકલતા રૂ.8,00,000 RTGS કર્યા હતા અને પછી એમ કહ્યું કે જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પૈસા તપાસ પુરી થયે પરત મળી જશે. ત્યારબાદ બીજા દીવસે ફરી વોટસએપ કોલ આવ્યો અને કહ્યું કે તમારે બેંકમા લોકર છે અને હોય તો તેમા ગોલ્ડ હોય તો તમે ICICI BANK જઈને ગોલ્ડ લોન લઇ પૈસા જમાં કરાવી આપો જેથી મે તેમને કહ્યું કે મે રૂ.8,00,000નુ RTGS કરેલ છે તે પરત આપો ત્યારે તેમણે મને કહ્યું કે પેહલા તમારી બધી રકમનુ વેરીફીકેશ થઈ જશે અને ત્યારબાદ તમને એક સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ તમને તમારી બધી રકમ પાછી સોંપી દેવામા આવશે. મને તથા મારી પત્નીને દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અમારી પાસેથી 10.07.2025થી શરૂ કરી 02.08.2025 સુધીમાં 11 વખત જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ.88.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ મારા દીકરા કૃણાલને કરતા તેણે સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરના હેલ્પલાઈન નંબર 1930મા કોલ કરી ઓનલાઇન અરજી કરી હતી જે બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટમા ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:20 pm

બુદ્ધના પવિત્ર અવશેષો રાજકીય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા:કોલંબોના ગંગારામાયા મંદિરમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન એ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ છે. આ ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચેના સહિયારા બૌદ્ધ વારસાને વધુ મજબૂત બનાવે છે. ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા આ અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા હતા, જ્યાં સ્થાપિત પ્રોટોકોલ મુજબ તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. આ અવશેષો સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ સહભાગી થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનું પરિણામઆ પ્રદર્શનનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2025 માં તેમની શ્રીલંકા મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાના ભાગરૂપે કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા માટે વર્ષ 2020 માં 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ જાહેર કરી હતી. આ ઉપરાંત, અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે પણ ભારત દ્વારા વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કોલંબોમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ કોલંબોના સુપ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા આ પવિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીંડે અસાજી થેરો, ભારત તરફથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકા સરકારના મંત્રીઓ ડૉ. હિનિડુમા સુનિલ સેનેવી, ડૉ. નલિન્દા જયતિસ્સા અને પ્રો. A.H.M.H અભયરત્ના પણ આ ગરિમાપૂર્ણ સમારોહમાં જોડાયા હતા. જાહેર દર્શન અને વિશેષ મહત્ત્વ આ પ્રદર્શનમાં પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી વિષય પર વિશેષ પ્રદર્શનો પણ યોજાયા છે. પવિત્ર અવશેષો 5 ફેબ્રુઆરી, 2026 થી જાહેર દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ અવશેષોનું આગમન શ્રીલંકાના 78 મા સ્વતંત્રતા દિવસના અવસરે થયું હોવાથી તેનું મહત્વ બેવડાયું છે. ભારતની બહાર દેવનીમોરી અવશેષોની આ પ્રથમ જાહેર પૂજા છે. આ પૂર્વે ભારતે 2012 માં કપિલવસ્તુ અને 2018 માં સારનાથના અવશેષો શ્રીલંકા મોકલ્યા હતા. આ આયોજન ભગવાન બુદ્ધના કરુણા અને શાંતિના સંદેશને વિશ્વભરમાં ફેલાવવાનું કામ કરશે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:20 pm

હારીજમાં મુખ્યમંત્રીની હાજરીમાં 22 યુગલોના લગ્ન:27 ગામ લેઉવા પાટીદાર સમાજનો 30મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે 27 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 30મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રસંગે 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ મહોત્સવમાં સમાજની ડિજિટલ એપ્લિકેશનનું વિમોચન, રક્તદાન કેમ્પ અને દાતાઓના સન્માન જેવા રચનાત્મક કાર્યો પણ કરવામાં આવ્યા હતા. અડિયા ખાતે આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં સામાજિક સંગઠન અને એકતાના દર્શન થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે 22 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચાઓ રોકી આર્થિક બચત અને સામાજિક એકતા મજબૂત કરવાનો હતો. આ મહોત્સવ દરમિયાન ટેકનોલોજીના માધ્યમથી સમાજને સંગઠિત કરવાના હેતુથી 27-LP નામની આધુનિક એપ્લિકેશનનું વિમોચન કરાયું હતું. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજની સંપૂર્ણ ડેટાબેંક, સગપણ-સેતુ, વ્યવસાય અને રોજગારની વિગતો તેમજ સમાચારો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને આપત્તિના સમયે તાત્કાલિક સહાય મેળવવા માટે પણ આ એપ ઉપયોગી થશે. લગ્નોત્સવની સાથે માનવતાના અભિગમ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે સમાજે જાગૃત થવું જરૂરી છે. તેમણે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન પર ભાર મૂકતા કહ્યું કે, વરસાદી પાણીનો સંગ્રહ એ ભવિષ્યની જરૂરિયાત છે અને આ માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે પરિવર્તનની હિમાયત કરતા તેમણે જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલમાં 25 થી 40 વર્ષની નાની ઉંમરે ડાયાબિટીસ, કેન્સર અને હાઈ બ્લડપ્રેશર જેવા રોગો વધી રહ્યા છે, જેની સામે જાગૃતિ લાવવી જરૂરી છે. અંતમાં તેમણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:20 pm

પાટણ PMAY ફાઈલો પેન્ડિંગ, કોર્પોરેટરની ચીફ ઓફિસરને રજૂઆત:લાભાર્થીઓની હાલાકી દૂર કરવા તાત્કાલિક નિકાલની માંગ

પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત અનેક લાભાર્થીઓની ફાઈલો લાંબા સમયથી મંજૂરીના અભાવે અટવાઈ પડી છે. આ મામલે નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ ચીફ ઓફિસર હીરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ, અધિકારીની સહી ન થવાને કારણે ફાઈલોનો ભરાવો થયો છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં વહીવટી વિલંબને કારણે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક લાભાર્થીઓની ફાઈલો તમામ પ્રક્રિયાઓ પૂર્ણ હોવા છતાં ચીફ ઓફિસરની અંતિમ સહી બાકી હોવાથી પેન્ડિંગ છે. આ વિલંબના કારણે લાભાર્થીઓને મળવાપાત્ર આવાસના લાભો સમયસર મળી રહ્યા નથી, જેનાથી તેમને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેટર ભાટીયાએ ઈમેલ અને વોટ્સએપ માધ્યમથી પણ રજૂઆત કરી છે કે કચેરીમાં પેન્ડિંગ રહેલ તમામ ફાઈલોનો તાત્કાલિક અભ્યાસ કરી તેના પર સહીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનો હેતુ જરૂરિયાતમંદોને ઘર પૂરૂં પાડવાનો છે, પરંતુ વહીવટી વિલંબ આ હેતુમાં અવરોધ બની રહ્યો છે. અરજદારો લાંબા સમયથી આવાસની આશા રાખીને બેઠા હોવાથી આ બાબતે ઉચ્ચ સ્તરેથી જરૂરી સૂચનાઓ આપીને ફાઈલોનો નિકાલ કરવામાં આવે તે હિતાવહ છે. પાટણ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે આગામી સમયમાં કેવી કામગીરી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 5 Feb 2026 3:16 pm