SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

સ્વામિત્વ યોજનાની કામગીરી પૂરજોશમાં:કચ્છના 799 ગામો પૈકી 321 ગામોનો સર્વે પૂર્ણ, 31,906 લોકોને મળ્યા પ્રોપર્ટી કાર્ડ

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘સ્વામિત્વ યોજના’ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોની મિલકતોના ડેટા તૈયાર કરી પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના મિલકતધારકોને માલિકી હક્ક આપવા માટે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આગામી જૂન મહિના સુધીમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે આખરી ઓપ આપી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કચ્છ જિલ્લામાં કુલ 799 ગામોને આ યોજના હેઠળ આવરી લેવાના છે. જે પૈકી અત્યાર સુધીમાં 321 ગામોમાં ડ્રોન સર્વે અને ગ્રાઉન્ડ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ગામોના 31,906 મિલકતધારકોને તેમના હક્કના ‘સ્વામિત્વ કાર્ડ’ (પ્રોપર્ટી કાર્ડ) એનાયત કરી દેવામાં આવ્યા છે. આ કાર્ડ મળવાથી હવે બેંક લોન અને મિલકતના વિવાદોમાં પણ ઘટાડો થશે. જિલ્લામાં હજુ 285 ગામો એવા છે જ્યાં સર્વેની કામગીરી બાકી છે. જોકે, આ ગામોના ડિજિટલ નકશાઓ વિભાગને પ્રાપ્ત થઈ ગયા હોવાથી હવે ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે કચ્છની 40 લોકોની ટીમ કાર્યરત છે, જેની સાથે રાજકોટથી વિશેષ ૮ સર્વેયરની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 48 નિષ્ણાતોની ટીમ હાલ મેદાનમાં છે. આ અંગે વિગતો આપતા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ (DILR) અધિકારી જય ભોરાણીયાએ જણાવ્યું હતું કે, અત્યારે જે ગતિએ કામગીરી ચાલી રહી છે તે જોતા આગામી જૂન માસ સુધીમાં જિલ્લાના તમામ લક્ષિત ગામોને આવરી લેવામાં આવશે. અંદાજિત 90 હજાર જેટલા નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે. સાથે જ 102 ગામોમાં પ્રમોલગેશન માટેની નોટિસો પણ ઇસ્યુ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:21 am

બોર્ડની પરીક્ષા:ધો.10માં બેઝિક ગણિતનું પેપર સરળ રહ્યું છતાં 774 વિદ્યાર્થીએ પરીક્ષા જ ના આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં શુક્રવારે સવારના સત્રમાં ધોરણ 10 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર પ્રમાણમાં ઘણું સરળ રહેતા પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સત્તાવાર આંકડા મુજબ, બેઝિક ગણિત વિષયમાં નોંધાયેલા કુલ 25214 પરીક્ષાર્થીઓમાંથી 24439 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જ્યારે 774 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત સંસ્કૃત પ્રથમામાં વિજ્ઞાન વિષયમાં તમામ 42 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે આવેલી પટેલ ભીમજી કેસરા વિદ્યાલયમાં ધોરણ 10ની પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી હતી. જોકે, કેન્દ્ર સંચાલકો અને આરોગ્ય ટીમની તત્પરતાને કારણે બંને વિદ્યાર્થિનીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ અને સ્વાસ્થ્યમાં સુધારો જણાતા આ બંને દીકરીઓએ હિંમતભેર પુનઃ પરીક્ષા ખંડમાં જઈ પોતાનું પેપર પૂર્ણ કર્યું હતું. બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 738 માંથી 733 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર વિષયમાં 8538 માંથી 8329 વિદ્યાર્થીઓએ પોતાની કસોટી આપી હતી. સંસ્કૃત મધ્યમાં અંગ્રેજી વિષયમાં નોંધાયેલા તમામ 45 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં આજે ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર જ્યારે સાયન્સમાં અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર લેવાશે. ધોરણ 10માં આજે કોઈ પેપર નથી.સોમવારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર યોજાશે.સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેમની ટીમ દ્વારા ભુજ, માંડવી, નખત્રાણા અને લખપત તાલુકાના કેન્દ્રો પર વિજિલન્સ સ્ક્વોર્ડ અને સ્થાનિક સ્ક્વોર્ડ દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કંટ્રોલ રૂમ ખાતેથી સીસીટીવી ફૂટેજ અને ડીવીડીનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી ફોર્મ્સ ભરવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:17 am

વાહનોની ડીલીવરી આપવાની કામગીરી ખોરવાઈ:નવા વાહનોના ટેક્સની ચૂકવણી માટે બે દિવસ ટેકનીકલ એરર આવી

કચ્છ સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી નવા વાહનોના ટેક્સ ભરવા માટે ઓનલાઇન પોર્ટલ પર ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. પૅમેન્ટ ન થતા વાહનોની ડીલીવરી અટકી હતી જોકે, શુક્રવારે સાંજે ઉકેલ આવી જતા સૌએ રાહત અનુભવી હતી. આ બાબતે જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, નવા વાહનોમાં નંબર પ્લેટ ઇસ્યુ કરવા સુધીની કામગીરી હાલ ડીલરો દ્વારા કરવામાં આવે છે. કોઈપણ નવું વાહન ખરીદવામાં આવે ત્યારે તેની પ્રક્રિયા કુલ ચાર તબક્કામાં પૂર્ણ થાય છે, જેમાં પ્રથમ ઓનલાઇન સોફ્ટવેરમાં એન્ટ્રી અને બીજા તબક્કામાં ડોક્યુમેન્ટ અપલોડની કામગીરી સફળતાપૂર્વક થતી હતી, પરંતુ ત્રીજા તબક્કે એટલે કે ઓનલાઇન ટેક્સ ભરવા માટે જ્યારે ડીલરો ક્લિક કરતા ત્યારે સિસ્ટમમાં સીધી એરર આવી જતી અને પેમેન્ટનો વિકલ્પ ન દેખાતા બુધવારે બપોર પછીથી પ્રક્રિયા ઠપ્પ થઈ હતી. ટેક્સ ન ભરાય ત્યાં સુધી નંબર પ્લેટની પ્રોસેસ આગળ વધતી નથી અને નંબર પ્લેટ વગર વાહનની ડિલિવરી આપી શકાતી નથી, જેને કારણે ડીલરોમાં ભારે ચિંતા પ્રસરી હતી. નિયમ મુજબ વાહનની એન્ટ્રી થયાના સાત દિવસમાં ટેક્સ ભરવો ફરજિયાત હોય છે, અન્યથા પેનલ્ટી ભરવી પડે છે. જોકે, શુક્રવારે સાંજે આ સમસ્યાનું નિવારણ આવી ગયું હતું. આરટીઓ વિભાગના સત્તાવાર સૂત્રોએ આ બાબતે જણાવ્યું હતું કે, આ સમસ્યા નવા વાહનોના ટેક્સ પેમેન્ટ પૂરતી મર્યાદિત હતી અને તેની પાછળ બેંકનું સર્વર ડાઉન હોવાનું કારણ જવાબદાર હતું. આરટીઓની અન્ય કોઈ કામગીરી પર તેની અસર પડી ન હતી. શુક્રવારે સાંજથી ફરી પેમેન્ટ ઓપ્શન શરૂ થઈ જતાં અટકેલી કામગીરી ફરી વેગ પકડશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:16 am

કચ્છમાં ફાગણમાં તાપ વધ્યો:ભુજ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

કચ્છમાં સામાન્ય રીતે માર્ચ મહિનાના મધ્ય બાદ ઉનાળાની આકરી શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતી ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રથમ સપ્તાહથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે શુક્રવારે જિલ્લા મથક ભુજ સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ વર્ષની સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે. બપોરના સમયે રસ્તાઓ પર લૂ (ગરમ પવનો) ફૂંકાતા લોકોએ રીતસરની ભીષણ ગરમીનો અહેસાસ કર્યો હતો. માત્ર ભુજ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં 35.6 ડિગ્રી, કંડલા પોર્ટ પર 31.૩ ડિગ્રી અને નલિયામાં 30.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મોસમ વિભાગની આગાહી મુજબ, શનિવાર સુધી કચ્છમાં ભારે ગરમીની રહેવાની શક્યતા દર્શાવી હતી. હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો આ જ રીતે પારો ઉંચકાતો રહ્યો તો માર્ચના શરૂઆતના દિવસોમાં જ ભુજ સહિતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. સવારે ઠંડી અને બપોરે ગરમી બદલાતા મોસમની સ્વાસ્થ્ય પર અસરહાલમાં હવામાનમાં જોવા મળતા તીવ્ર ફેરફારોને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા વધી રહી છે. સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરે ભીષણ ગરમી અનુભવાય છે. આ તાપમાનના તફાવતને કારણે ડિહાઇડ્રેશન, સર્દી-ખાંસી, તાવ, ગળામાં દુખાવો અને એલર્જી જેવી તકલીફો વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આવા સમયમાં પૂરતું પાણી પીવું અને તાજું તેમજ પૌષ્ટિક આહાર લેવું જરૂરી છે. બદલાતા હવામાનમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:15 am

PGVCL એક્શન મોડમાં:55 કરોડની બાકી વીજબીલ વસુલાત માટે આજે મેગા ડીસ્કનેક્શન ડ્રાઈવ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બીલની વસુલાત માટે આજે ફરી મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી સહિતના વીજ જોડાણોમાં 55 કરોડની રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં આવતી તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના વીજ જોડાણ સ્થળ પર જ ડીસ કનેક્ટ કરવામાં આવશે. વીજબિલના બાકીના નાણાંની વસુલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા ફરીથી અરજ કરવામાં આવી છે કે આપનો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલના લેણા રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપશો. આ માટે ગ્રાહકો વિવિધ ઓનલાઇન માધ્યમ જેમકે GOOGLE PAY, પીજીવીસીએલ ની વેબસાઈટ, ક્રેડિટ કાર્ડ, PHONEPE, AMAZONPE, UPI, BHIMUPI, RTGS, વિવિધ બેંકો ની મોબાઇલ એપ્લિકેશન વિગેરેનો ઉપયોગ કરી ને બાકી રહેતા નાણાની ચુકવણી કરી શકે છે. હવે સ્થળ પર નહી સ્વીકારવામાં આવે બીલ, વીજળી થશે ગુલવિજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણા ની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી ડોક્યુમેન્ટસ રજૂ કરવાના રહેશે. ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે બાકી લેણાંની રકમમાં અધુરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:13 am

સિટી એન્કર:દેશ વિદેશમાં હનુમાનજીના જીવન ચરિત્ર પર 300 થી વધુ કથા કરનારનો મત : ભારતભરના યુવાનોમાં મજબૂત અને પ્રબળ રાષ્ટ્રભાવના

ભુજમાં રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ કાનજી મૂળજી રાબડીયા(રાજકુમાર) પરિવાર અને રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર આયોજિત ‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’ના પ્રસિદ્ધ વક્તા, સારંગપુર કષ્ટભંજન હનુમાનજીના સ્વામી હરિપ્રકાશદાસજીએ યુવાઓને સંસ્કાર અને પ્રેરણાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજનો યુવાન જો હનુમાનજી મહારાજને પોતાનો રોલ મોડલ બનાવશે તો તેને માત્ર સફળતા જ નહીં પરંતુ સંસ્કારી અને શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે. ભુજમાં ટીન સિટી ખાતે સાત દિવસ સુધી અમૃતમય વાણીનું રસપાન કરાવશે તે સ્વામી હરિપ્રકાશદાસજીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા કહ્યું કે ભાગવત, રામાયણ અને શિવકથાની જેમ હનુમાનજીના જીવન ચરિત્રમાં પણ યુવાનોને પ્રેરણા આપતી અનેક ઘટનાઓ સમાયેલી છે. કોરોના કાળ દરમિયાન સુંદરકાંડના પાઠ અને દૈનિક મારૂતિ નંદનની કથા દરમિયાન તેમને અનુભવ થયો કે સંકટમોચન હનુમાનજીનું જીવન આજના યુવાનો માટે માર્ગદર્શક બની શકે છે. હનુમાનજી એક એવા દેવ છે જે યુવાઓને સમર્પણ, શક્તિ, ભક્તિ અને સંસ્કારનો માર્ગ બતાવે છે. સ્વામીએ આજના યુગમાં મોબાઇલના વધતા ઉપયોગ અંગે પૂછતા તેમણે કહ્યું કે મોબાઇલને સંપૂર્ણ રીતે દૂર કરવું અશક્ય છે, પરંતુ તેનો સમજદારીપૂર્વક અને સદુપયોગ કરવાથી વિચાર અને વર્તન બગડતા અટકાવી શકાય છે. જો ટેક્નોલોજીનો સદુપયોગ કરવામાં આવે તો સંસ્કારોનું સિંચન પણ શક્ય બને છે. વર્તમાન પરિસ્થિતિમાં ભારતની સ્થિતિ અંગે વાત કરતાં સ્વામીએ જણાવ્યું કે આજે વિશ્વના અનેક દેશોમાં અશાંતિ છે ત્યારે ભારત સ્થિરતા અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આપણે સૌભાગ્યશાળી છીએ કે દેશને યોગ્ય અને સબળ નેતૃત્વ મળ્યું છે. આજે ભારત વિશ્વના દેશો સાથે આત્મવિશ્વાસપૂર્વક સંબંધો જાળવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું સ્થાન પણ મજબૂત બન્યું છે. સ્વામી હરિપ્રકાશદાસજીએ પોતાના વિદેશ પ્રવાસોના અનુભવ કહેતા જણાવ્યું કે, 2006થી તેઓ વિશ્વના અનેક દેશોમાં કથા કરી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, મસ્કત, દુબઈ, મલેશિયા, શ્રીલંકા અને બેલ્જિયમ સહિતના દેશોમાં કથાનું રસપાન કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારત પ્રત્યે વિશ્વમાં સન્માન અને શ્રદ્ધા વધતી જોવા મળી છે. સ્વામીએ યુવાઓને વિશેષ આમંત્રણ આપતાં જણાવ્યું કે હનુમાનજીના જીવન ચરિત્રનું શ્રવણ કરવાથી જીવનમાં વૈચારિક પરિવર્તન આવે છે. ભારતના Gen-Z સમજુ અને સંસ્કારી છેસ્વામી હરિપ્રકાશદાસજીએ જણાવ્યું કે આજનું ભારતીય યુવાધન સંસ્કારી અને સમજદાર છે.નેપાળ અને બાંગ્લાદેશમાં યુવાનો ભટકી જતા હોવાના ઉદાહરણો જોવા મળે છે, પરંતુ ભારતનો યુવા પોતાની બુદ્ધિ અને સંસ્કારોના આધારે યોગ્ય માર્ગ પસંદ કરે છે. તેમણે કહ્યું કે આજનો યુવા સનાતન હિંદુ ધર્મના મૂલ્યો સાથે આગળ વધી રહ્યો છે અને વિવિધ રાજકીય નેતાઓના વિચારો સાંભળી પોતાનું સામર્થ્ય સમજીને નિર્ણય લે છે. ભારતના યુવાઓમાં અતિશય ધર્મઝનૂન નથી, પરંતુ મજબૂત રાષ્ટ્રભાવના છે, જેના કારણે દેશનો યુવા સ્થિર અને સમજદાર બની આગળ વધી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:12 am

અમદાવાદમાં છવાયો જબરદસ્ત ક્રિકેટ ફિવર, હોટલના ભાડા ચાર ગણા વધ્યા:ક્રિકેટપ્રેમીઓ 80 હજાર સુધી રૂમનું ભાડું ચૂકવવા તૈયાર, એર ટિકિટ મળવી મુશ્કેલ

T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી થતા જ અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફિવેર છવાયો છે. ટીમ ઈન્ડિયા અને કિવિઝ ટીમ અમદાવાદ આવી ચૂકી છે. તો બીજી તરફ ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓએ પણ અમદાવાદ પહોંચવા તૈયારીઓ કરી લીધી છે. T-20 વર્લ્ડકપ ફાઈનલ મેચમાં અંદાજે 40 હજાર પ્રેક્ષકો બહારથી આવી તેવી શક્યતા જોવાઈ રહી છે. જેના કારણે અમદાવાદની હોટલ રૂમના અને ફ્લાઈટના ભાડા આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં હોટલ રૂમના અને ફ્લાઈટના જે ભાડા હોય છે તેમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. T-20 વર્લ્ડકપની મેચ નિહાળવા આવનાર ક્રિકેટ પ્રેમીઓ 80 હજાર સુધી રૂમનું ભાડું ચૂકવવા તૈયાર છે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ 15 હજારથી 30 હજાર સુધી પહોંચ્યા છે. હોટલ અને એર ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકોના મતે આ ભાડામાં હજી પણ વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. 8મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા-ન્યૂઝિલેન્ડ વચ્ચે ફાઈનલઅમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળવાનો છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એક વખત ઇતિહાસ રચવા તૈયાર છે. જ્યાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમવાની છે. ફાઈનલ મેચના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હૉસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે. અન્ય રાજ્ય અને દેશમાંથી 40 હજાર લોકો અમદાવાદ આવે તેવી શક્યતાસામાન્ય દિવસોમાં 5 હજારથી 6 હજાર રૂપિયામાં મળતા હોટલ રૂમ હવે 15 હજારથી શરૂ થઈ 80 હજાર સુધી પહોંચી ગયા છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં 70થી 80 ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે. જ્યારે અમુક કલાકોમાં તો તમામ હોટલો સોલ્ડ આઉટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિકેટ ફાઈનલના કારણે શહેરમાં હજારો ફેન્સ આવવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.20 લાખથી વધુ છે અને અંદાજે 30થી 40 હજાર જેટલા લોકો બહારના શહેરો કે દેશોમાંથી મેચ જોવા અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. આ જ કારણ છે કે હોટલોની માંગ અચાનક વધી ગઈ છે. માંગ વધારે અને રૂમોની સંખ્યા મર્યાદિત હોવાથી હોટલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસમાં 6000માં મળતા રૂમ 15,000માં મળવા મુશ્કેલ!માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઘણો ઠંડો રહ્યો હતો. પરંતુ ફાઈનલ મેચના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 50થી 60 ટકા સુધીનો ગ્રોથ જોવા મળી શકે છે. ઘણા ક્રિકેટ ફેન્સે તો મેચની ટિકિટ મળ્યા પહેલા જ હોટલ બુક કરી દીધી છે. એક તરફ ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ઉત્સાહ અને ગૌરવનો ક્ષણ બનવાની છે. તો બીજી તરફ અમદાવાદના હોટલ ઇન્ડસ્ટ્રી માટે ફાઈનલ સોનેરી તક સાબિત થઈ રહી છે. શહેરમાં ક્રિકેટનો જાદુ એવો છવાયો છે કે,લોકો મેચની એક ઝલક જોવા માટે ભારે ખર્ચ કરવા તૈયાર થઈ ગયા છે. જેથી ભાવમાં 300થી 400 ટકાનો વધારો થયો છે છતાં 80 ટકા જેટલું તો બુકિંગ પણ થઈ ગયું છે. સામાન્ય દિવસમાં 6 હજારમાં મળતા હોટલના રૂમ 15,000માં પણ મળવા મુશ્કેલ છે. જેથી હજુ પણ જેમ ડિમાન્ડ વધશે તેમ હોટલના ભાવમાં પણ વધારો થવાનો છે. હોટલ રૂમના ભાડામાં હજી પણ વધારો થઈ શકે- નરેન્દ્ર સોમાણીહોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે ગૌરવની વાત છે કે T20 વર્લ્ડ કપની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના કારણે હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ તેમ બુકિંગ માટેનો ઘસારો જોવા મળી રહ્યો છે. અત્યારે હોટલના ભાવ 15,000થી 80,000 સુધી ચાલી રહ્યા છે. તેમજ જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ થોડા થોડા ભાવ વધી રહ્યા છે અને હોટલ બુકિંગ માટેની ડિમાન્ડ પણ વધી રહી છે. જેથી હજુ પણ ભાવ વધી શકે છે. હોટલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, તમામ હોટલ ફુલ થઈ જાય તેવી આશા છે. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસિટી એક લાખ કરતા વધુની છે. જેથી બહારથી 40,000 જેટલા લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેથી 10,000થી 15,000 રૂમની વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. પરંતુ ડિમાન્ડની સામે રૂમની વ્યવસ્થા ઓછી હોવાથી ભાવ વધી જતા હોય છે. માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઠંડો મહિનો થયો હતો. પરંતુ મેચના કારણે બે ત્રણ દિવસમાં જ હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. ફાઇનલ મેચના કારણે હોટલમાં થયેલા ભાવ વધારાને લઈને નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, બે દિવસમાં જ હોટલ ઇન્ડસ્ટ્રીને 50થી 60 ટકાનો ગ્રોથ થવાનો છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા જેટલું બુકિંગ થઈ ગયું છે. ફાઇનલ મેચ હોવાથી બહારથી વધુ લોકો આવતા આ વખતે 300થી 400 ટકા ગણો ભાવમાં વધારો થયો છે. જે હોટલમાં રૂમમાં ભાવ 6000 હતા તે લોકો અત્યારે 18થી 20 હજારમાં વહેંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી અમદાવાદમાં મોટી મોટી ઇવેન્ટ અમદાવાદમાં યોજાઇ રહી છે. જેના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે તેના કારણે 2030 સુધીમાં અત્યારે જેટલી હોટલો છે તેટલી જ વધુ નવી હોટલો નવી તૈયાર થવાની છે. અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં પણ તોતિંગ વધારોચિક્કી ટ્રાવેલ્સના ડાયરેક્ટર અંકિત બજાજના જણાવ્યા અનુસાર T-20 મેચની ફાઈનલના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અન્ય રાજ્ય અને દેશમાંથી અમદાવાદ આવવાના છે. રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ જેવા શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ સામાન્ય દિવસની સરખામણીએ ત્રણથી ચાર ગણા વધી ગયા છે. જ્યાં સામાન્ય રીતે 5 થી 7 હજારમાં ટિકિટ મળતી હતી, ત્યાં હવે 20 થી 30 હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. ડોમેસ્ટિકની સાથે સાથે દુબઈ અને લંડનથી આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે પણ મુસાફરી મોંઘી બની છે. લંડનથી અમદાવાદની ટિકિટ હવે 1.2 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:00 am

નીતિન પટેલે રકાબીમાં ચાનો સબડકો લીધો:કાકા બોલ્યા, ‘કડી યાર્ડ જેવી ચા ગુજરાતમાં ક્યાંય ના થાય’; AMCના નેતાઓ અધિકારીઓ સામે મેચ હારી ગયા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 6:00 am

પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું મોતનું અસલી કારણ:પરિવારને પ્રૌઢના મોતનું કારણ બીમારીનું લાગ્યું,પોસ્ટમોર્ટમમાં અકસ્માતનો ખુલાસો

બાજવા રહેતા પ્રૌઢ હોળીના દિવસે ઉંડેરા ખાતે રહેતી તેમની બહેનના ઘરેથી ચાલતા બાજવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું અકસ્માતે મોત થયું હતું. તેમની બહેનને ભાઈના અકસ્માતની જાણ થતાં તેઓ ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. જે તે સમયમે પરિવારે મોતને કુદરતી મોતમાં ખપાવી દીધું હતું. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, તેમના શરીર પર કેટલાક નીશાન છે, જેના આધારે જાણવા મળ્યું હતું કે, પૌઢને વાહને અડફેટે લેતા તેઓનું મોત થયું હતું. પૌઢના ભાઈએ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાજવા રહેતા 54 વર્ષીય મહેશભાઈ ગોરધનભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. હોળીના દિવસે તેઓ ઉંડેરા ખાતે રહેતી તેમના બહેન ભાવના બહેનના ઘરે ગયા હતા. જ્યાંથી સાંજના સમયે તેઓ બાજવા ઘરે જવા માટે ચાલતા નીકળ્યા હતા. ત્યારે સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં ભાવના બહેને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તેમના ભાઈને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લાવ્યા છે. જેથી પરિવારના સભ્યો હૉસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેઓને જાણકારી મળી હતી કે, રીફાઈનરીના મુખ્ય ગેટ નજીક મહેશભાઈ બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી રાહદારીએ તેઓને 108 દ્વારા હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માતે મોતને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તબીબે પરીવારને બતાવ્યું હતું કે, મહેશભાઈને પેટના ભાગે, પીઠના ભાગે ઈજા પહોંચી હતી અને તેઓને જમણા ખભામાં ફેક્ચર થયું છે. જેના આધારે પૂરવાર થયું હતું કે, મહેશભાઈને કોઈ વાહને અડફેટે લેતા તેઓનું મોત થયું છે. જેથી મહેશભાઈના ભાઈ ધવલ પટેલે જવાહર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવીના આધારે ક્રેને અડફેટે લઇ અકસ્માત કર્યો હોવાની પુષ્ટિ થઈ હતીહોળીની રાત્રે જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં અકસ્માતે મોતની 2 ઘટનાઓ બની હતી. જેને પગલે 2 મૃતદેહ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં આવ્યા હતા. જેને કારણે પોલીસે મહેશભાઈના મૃતદેહની તપાસ કરી ન હતી. જોકે મૃતદેહના ફોટા ઉચ્ચ અધિકારીએ જોતા તેઓને અકસ્માતની શંકા થતા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી તપાસવા આદેશ આપ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મહેશભાઈને ક્રેને અડફેટમાં લેતા તેઓનું મોત થયું છે. જેથી પોલીસે હાલમાં ક્રેનને કબ્જામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડમહેશભાઈને ક્રેને અડફેટે લેતાં તેઓનું મોતહોળીના દિવસે જવાહર નગર પોલીસ મથકના સ્ટાફે રાત્રે મહેશભાઈનો મૃતદેહ જોયો નહોતો. અધિકારીને ફોટા બતાવતા તેઓને શંકા ગઈ હતી. જેને આધારે ઘટના સ્થળના આસપાસના સીસીટીવીના તપાસતા બહાર આવ્યું હતું કે, ક્રેન ચાલકે મહેશભાઈને અડફેટે લેતા તેઓનું મોત થયું હતું. હાલમાં પોલીસ ક્રેનને કબ્જામાં લઈ લીધી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:54 am

ગેરરીતિ કરાયાની ફરિયાદ નોંધાઈ:મકરપુરાની ક્રિશોન એન્જિનિયરિંગે ગેસની ટેન્ક માપદંડથી પાતળી બનાવી, વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો

મકરપુરા જીઆઈડીસીની ક્રિશોન એન્જિનિયરિંગ કંપનીએ ગેસ ટ્રાન્સપોર્ટ કરવાના ટેંકર બનાવવમાં ગેરરિતી કરતા વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ટેંકરનું સર્ટિ આપનાર કોલકાતાની કંપની સામે પણ ગુનો નોંધાયો છે. વડસર રોયલવિલા ખાતે રહેતા અશોકકુમાર પુરષોત્તમકુમાર જોઇન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવની કચેરી વડસર ખાતે કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ તરીકે નોકરી કરે છે. 2024માં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)માં એક વ્યક્તિએ ટેંકરની બનાવટમાં ગેરરિતી થયાની જાણ કરતાં ઈન્સ્પેક્શનમાં ધ્યાને આવ્યું હતું કે, પેસો માન્ય ટેંક બનાવવાનું એપ્રુવલ મકરપુરાની ક્રિશોન એન્જિનિયરિંગને અપાયું હતું. ટેન્કરની જાડાઈ 18 એમએમની જગ્યાએ બે ટેંકરની જાડાઈ ઓછી હતી. સર્ટિ તપાસતાં મે.ઈન્ડ્સ્ટ્રીયલ મેનેજમેન્ટ કાઉન્સિલ, કોલકતાનું હોવાનું સામે આવ્યું હતું. બંને સામે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. સતત બે વર્ષ પ્રક્રિયા ચાલી, બીજા ઈન્સ્પેક્શનમાં ગેરરીતિ પકડાઈ ગઇ2024માં એક વ્યક્તિએ ગેરરિતીની ફરિયાદ કરતાં પેસો દ્વારા ઈન્સ્પેક્શન કરવા જણાવ્યું હતું. શરૂઆતમાં કોલકાતાની મેસર્સ ઈન્ડ્સટ્રિયલ મેનેજમેન્ટ કંપનીએ ઈન્સ્પેક્શન કર્યું હતું. તે રિપોર્ટની તપાસ કરતાં શંકા જતા બીજી કંપની પાસે તે જ રિપોર્ટ કરાવાતા ગેરરિતી સામે આવી હતી. સતત બે વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:53 am

બોમ્બ ધમકીને લઈને ઘટસ્ફોટ:વડોદરા કોર્ટને બીજી વખત બોમ્બથી ઉડાવવાનો ઈ-મેલ કેલિફોર્નિયાના સર્વરથી રૂટ કરીને મોકલાયાનો ઘટસ્ફોટ

શહેરમાં ગુરુવારે વડોદરાની કોર્ટને 16 દિવસમાં બીજીવાર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં ભાગ-દોડ મચી ગઈ હતી. આ પ્રકરણને લઈ સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ફરીથી અગાઉની જેમ જ ઈ-મેલ કેલિફોર્નિયાના સર્વરથી રૂટ થઇ મોકલાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ પણ કેલિફોર્નિયાના સર્વરનો ઉપયોગ થયો હતો. ગુરુવારે કોર્ટમાં 14 સાઇનાઇડ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી. સાથે જ એલટીટીઈ અને આઈએસઆઈનો ઉલ્લેખ કરીને ધમકી મોકલવામાં આવી હતી. વડોદરા સાથે મહેસાણાની કોર્ટને પણ ધમકીનો ઈ-મેલ મોકલાયો હતો. મકરપુરા એરફોર્સના કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકને કેનેડાના ફોન નંબરનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેલ મોકલાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્ટેટ સાયબર ક્રાઈમ, આઈ-4સી, એટીએસ સહિતની મદદ લીધી છે. હોટમેલ પાસે ઈ-મેલ આઈડીના આઈપી એડ્રેસની માગણી કરી છે. તે મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે. પોલીસ વહેલાં પકડી ન શકે તે માટે વીપીએનનો ઉપયોગ કરે છેભેજાબાજો ડર ઉભો કરવા દેશમાં તમિલનાડુ રાજકારણ અને ખાલિસ્તાનને ટાર્ગેટ કરીને ધમકીભર્યા ઈ-મેલ મોકલે છે. જોકે પોલીસ ભેજાબાજ સુધી વહેલાં પહોંચી ન શકે તેને લઈ વીપીએનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પ્રોક્સી દ્વારા વિવિધ દેશના આઈપી એડ્રેસ બાઉન્સ કરાવે છે. તેઓ ક્યાં બેસીને ઈ-મેલ મોકલી રહ્યા છે તે જાણવું અઘરૂં બની જાય છે. વડોદરાને કરાચી અને નાગોરને જયપુરના નામથી ઈ-મેલ મળ્યોવડોદાર કોર્ટને કરાચી તેમજ મારન સેલનો ઉલ્લેખ કરી ઈ-મેલ મોકલાયો હતો. રાજસ્થાનની નાગૌર કોર્ટને મારન સેલ સાથે જયપુરનું નામ બદલીને ધમકી મોકલાઈ. વધુ ભય ઉભો કરવા ભેજાબાજ દ્વારા જુદા-જુદા શહેરના નામનો પણ ઉલ્લેખ કરીને ઈ-મેલ મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ ટોસિસ સેલનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. વડોદરાને ગુજરાતીમાં ઇ-મેલ મળ્યો તેની 10 મિનિટ પહેલાં નાગોરની કોર્ટને શબ્દશઃ હિંદીમાં મોકલાયોવડોદરા કોર્ટને ગુજરાતીમાં ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. જેની બરાબર 10 મિનિટ પહેલાં જ રાજસ્થાનની નાગોર કોર્ટને શબ્દસહ હિંદીમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલાયો હતો. અજીથમ કુડુમ્બાના હોટમેલ ડોટ કોમના આઈડી પરથી ઈ-મેલ મોકલાયો હતો. વિવિધ રાજ્યની ભાષા જાણીને ઈ-મેલ મોકલાઇ રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્રના નાગપુરની કોર્ટને પણ આ જ પ્રકારનો 14 બોમ્બ વિસ્ફોટનો ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. પોલીસ ઈ-મેલ મોકલનાર સુધી વહેલા પહોંચી ન શકે એટલે વીપીએન તેમજ ડાર્કવેબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:52 am

અગ્રણી વકીલો સાથેના ચર્ચાસત્રમાં સામે આવી સમસ્યાઓ:વડોદરા કોર્ટમાં વકીલો માટે વાહનોના પાર્કિંગ, બેસવાની જગ્યાની પળોજણ,એડવોકેટ હાઉસમાં એસી સુધ્ધાં નથી

વડોદરામાં નવી કોર્ટની ઇમારતને આઠ વર્ષ થયા છે. આ ઇમારત અને પરિસરની સુવિધાઓ માટે વકીલોને નડતા પ્રશ્નોનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. આ ઉપરાંત પણ કેટલાક મુદ્દાઓ છે જેનો વકીલો પણ ઉકેલ આવે તેમ ઇચ્છે છે. દિવ્ય ભાસ્કર દ્વારા વકીલોના વિવિધ પ્રશ્નોના મુદ્દે એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણી વકીલોએ તેમને નડતી સમસ્યાઓ જણાવી હતી અને કેટલાક સૂચનો પણ કર્યાં હતા. ચર્ચાસત્રમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની કોર્ટમાં વકીલો માટે વાહનોના પાર્કિંગ, બેસવાની સ્પેસની પળોજણ, એડવોકેટ હાઉસમાં એસી પણ નથી. આ ઉપરાંત ન્યાયતંત્રમાં અનુભવી અધિકારી-કર્મીઓની ઉપલબ્ધિ અને તેમના માટે હાલમાં અપાતી તાલીમની ગુણવત્તા તથા અનુભવની જરૂરિયાત વિશે પણ ચર્ચા થઇ હતી. સિનિયર વકીલોએ આ ચર્ચાસત્રમાં બદલાતી કાયદાકીય જોગવાઇઓ અને તેની ન્યાયપ્રણાલી અને વકીલોના વ્યવસાય પર થતી અસરની પણ છણાવટ કરી હતી. આ ચર્ચાસત્રમાં વકીલોએ રજૂ કરેલી કેટલીક સમસ્યાઓ અને અવલોકનો અત્રે પ્રસ્તુત છે. હાઇકોર્ટની બેચ વડોદરામાં પણ હોય, વકીલો માટે પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત01: કન્ઝ્યુમર કોર્ટમાં ઓનલાઇન ફરિયાદમાં મુશ્કેલીકન્ઝ્યુમર કોર્ટમાં 2023થી ઓનલાઇન ફરિયાદ કરવાનું ફરજિયાત થયું છે. પાદરા-વાઘોડિયા જેવા સેન્ટર પરથી આવતા વકીલોને આ માટે મુશ્કેલી પડે છે. કોઇવાર આ કારણસર ખર્ચ વધે છે. > મોન્ટુ પંડ્યા 02: કેસની સર્ટિફાઇડ કોપીની સત્તા કારકૂનને હોય તો સમય બચેદરેક કોર્ટમાં એક એક ફોટોકોપી મશીન હોવું જોઇએ. આ ઉપરાંત કેસની સર્ટિફાઇડ કોપી આપવાની સત્તા એક કારકૂન પાસે હોવી જોઇએ. જેથી સૌના સમયનો બચાવ થાય, કામગીરી ઝડપી બને. > અવધૂત સુમંત 03: એડવોકેટ હાઉસમાં એસી નથી, ઉનાળામાં તકલીફ પડે છેકોર્ટના એડવોકેટ હાઉસમાં એસીની સુવિધા નથી. જેના લીધે ઉનાળામાં વકીલોને આકરી ગરમી અનુભવવી પડે છે. આ સુવિધા હોવી જોઇએ. જેથી એડવોકેટ આસાનીથી કામ કરી શકે. > હસમુખ ભટ્ટ 04: સુનાવણીઓ લાંબી ચાલે છે, ત્રણની મર્યાદા હોવી જોઇએકોર્ટમાં પાર્કિંગમાં વાહનો આડેધડ થાય છે. જેના કારણે પાછળ રહેતા ચાલકનો બીનજરૂરી સમય વેડફાય છે. કોર્ટમાં સુનાવણીઓ લાંબી ચાલે છે. ત્રણેક સુનાવણીની મર્યાદા હોવી જોઇએ. > મુકુંદ શાહ 05: પાર્કિંગમાં શેડ ન હોવાથી ચોમાસામાં પલળી જવાય છેકોર્ટના પાર્કિંગમાં શેડ નથી આ સુવિધા ન હોવાથી ચોમાસામાં મુખ્ય બિલ્ડિંગ સુધી ચાલીને જવું પડે છે. જેથી તેઓ પલળી પણ શકે છે. વડોદરા સિવાયની બધા જ શહેરોમાં આ સુવિધા છે. > વિજય શિર્કે 06: હાઇકોર્ટની બેન્ચ માટે બાર કાઉન્સિલે પ્રયાસ કરવો જોઈએછોટાઉદેપુર, સાવલી કરજણમાં સેશન્સ કોર્ટ શરૂ થઇ ગઇ છે. જો હાઇકોર્ટની બેન્ચ પણ વડોદરા સહિતના શહેરોમાં આવે તો નાણા-સમય બચે. આ માટે બાર કાઉન્સિલ કેમ પ્રયાસ કરતી નથી. > કૌશિક ભટ્ટ 07: વકીલો માટે અલાયદી એડવોકેટ હાઉસ બિલ્ડિંગ જરૂરીવકીલો માટે અલાયદી એડવોકેટ હાઉસ બિલ્ડિંગ બનવી જોઇએ. વડોદરામાં દર વર્ષે 400થી વધુ વકીલો ઉમેરાય છે, જેમને સમાવવા મુશ્કેલ હશે. હાલનું ઇન્ફ્રાસ્ટ્રકચર આગામી સમય માટે પૂરતું નથી. > રિતેશ ઠક્કર 08:કોર્ટની બધી લિફ્ટ એક સાથે જવલ્લે જ ચાલતી હોવાથી મુશ્કેલીનવી કોર્ટમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા વધારવાની જરૂર છે. આ ઉપરાંત કોર્ટની બધી જ લિફ્ટો એક સાથે જવલ્લે જ ચાલતી જોવા મળે છે. જેના લીધે વકીલોને પણ અવરજવરમાં પરેશાની થાય છે. > તુષાર વ્યાસ 09: તબીબોની જેમ વકીલોને હુમલાથી બચાવવા જોગવાઈ નથીતબીબોને કાયદાકીય રક્ષણ માટે સરકારે કાયદાકીય જોગવાઇ કરી છે, પણ વકીલોને હુમલાઓમાંથી બચાવવા કોઇ જોગવાઇ નથી. વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હોવો જોઇએ. > નેહલ સુતરિયા 10: કોર્ટમાં મહિલા વકીલો માટે ઘોડિયાઘર હોવાં જોઈએકોર્ટ પરિસરમાં વકીલો ભોંયતળિયે બેસીને જમતા જોવા મળે છે. આવું ન થાય તે માટે વ્યવસ્થા હોવી જોઈએ. સુપ્રિમ કોર્ટમાં મહિલા વકીલો માટે ઘોડિયાઘર હોય છે તેવા અહીં પણ હોવા જોઇએ. > શ્રીલરાજા ઇનામદાર

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:46 am

ગેરવહીવટની ફરિયાદ સાથે કોંગ્રેસનો પાલિકામાં મોરચો:વડોદરા પાલિકાનો માથાદીઠ ખર્ચ સૌથી વધુ છતાં સુવિધાથી વંચિત

ભાજપ શાસિત પાલિકામાં કરોડોનો ગેર વહીવટ ચાલતો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પાલિકામાં મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. બેનર સાથે આવેલા કાર્યકરોએ સ્થાયી સમિતિમાં ચર્ચા વિના પાસ થતા કામો અંગે સવાલ ઉઠાવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, પાલિકામાંથી પક્ષના નેતા ચંદ્રકાંન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલર તથા કાર્યકરો હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે પાલિકામાં પહોંચ્યા હતા. ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સુરત અને અમદાવાદ કરતાં વડોદરામાં માથાદીઠ ખર્ચ વધુ છે છતાં શહેર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ભાજપ સાથે પાલિકામાં નાણાકીય ગેરવહીવટ અને અયોગ્ય નિર્ણયો લેવાઇ રહ્યા છે. પાલિકાની સ્થાયી સમિતિમાં મર્યાદા વધારવાના કારણે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાતી નથી અને ભ્રષ્ટાચાર વધે છે. મોટા કોન્ટ્રાક્ટરનો ફાયદો થાય તે રીતે પાલિકામાં પ્રક્રિયા ચાલી રહી છે. કરોડો રૂપિયાનું બજેટ છે છતાં શહેરમાં તૂટેલા રસ્તા, ડ્રેનેજ અને પાણીની સમસ્યા, ગંદકી યથાવત જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:41 am

નાગરિકોને મોબાઈલથી સાંસદ કાર્યાલયની સેવા મળશે:વડોદરામાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું લોન્ચિંગ

સાંસદ ડો. હેમાંગ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરાયું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરાયું હતું. આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે. નાગરિકો 95127 69834 નંબર પર નમસ્તે લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:41 am

કવિ સંમેલન યોજાયું:ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ, કાન તો કાપી લીધા‘તા ભીંતના, તો વાત ક્યાંથી લીક થઈ?

રાજ્ય કક્ષાનો સાહિત્યચિંતનનો બે દિવસીય કાર્યક્રમ પોરબંદર ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમાયોજિત બે દિવસીય સાહિત્ય ચિંતન શિબિરમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન વડોદરાના કવિ સાહિત્યકાર હરીશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કુલ છ સત્ર હતા જવાનું એક સત્ર કવિ સંમેલન હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતના અને મુંબઈના ગુજરાતી ભાષાના પ્રખર કવિ સાહિત્યકાર વક્તાઓ પોતાની કવિતાઓ રજૂ કરે છે. ગુજરાતના જાણીતા આર જે દેવકી રામ મોરી મણીલાલ પટેલ કનુ પટેલ મુંબઈના મેહુલ બુચ જેવા ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ કરી હતી. માણવા લાયક પંક્તિઓ

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:38 am

નવરચના યુનિ. ખાતે યોજાયો લો ફેસ્ટિવલ:કાયદાનાં પુસ્તકોમાંથી બહાર આવીને કોર્ટની ‘રિયલ’ દુનિયામાં એન્ટ્રી, કોલેજના કોર્ટરૂમમાં કેસ લડ્યા

ભવિષ્યના વકીલો અને ન્યાયાધીશો માત્ર પુસ્તકો પૂરતા સીમિત ન રહે અને તેમને કાયદાકીય પ્રક્રિયાઓનો વાસ્તવિક અનુભવ મળે, તેવા હેતુથી નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લૉ દ્વારા વાર્ષિક કાનૂન મહોત્સવ વર્ડિક્ટસની બીજી આવૃત્તિ યોજાઇ હતી. આ મહોત્સવ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના આ સ્પર્ધાત્મક મંચ પર મુખ્ય પાંચ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મૂટ કોર્ટ, પાર્લામેન્ટરી ડિબેટ, ક્લાયન્ટ કાઉન્સેલિંગ, કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટિંગ અને લૉ ક્વિઝનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધામાં દેશભરની આશરે 100થી વધુ કાનૂન સંસ્થાઓની 102 ટીમોના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. શરૂઆત ઓનલાઇન રાઉન્ડથી થઈ હતી. આ 14 ટીમ વચ્ચે ઑફલાઇન મુકાબલો યોજાયો હતો. જેઓએ રીયલ કોર્ટરૂમનો અનુભવ મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:35 am

UPSCમાં જ્વલંત સફળતા:UPSCમાં ભાવેશ જગલાનનો AIR 128કહ્યું, અસફળતાનો સામનો સફળતાની ચાવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2025નું ફાઈનલ રિઝલ્ટ શુક્રવારે જાહેર કરાયું હતું. કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં સ્પીપાના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે ગુજરાતી ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી છે. આ વર્ષે અમદાવાદમાં તાલીમ લીધેલા સ્પીપાના 82 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 34 ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી છે. જો કે ગયા વર્ષે સ્પીપાના 27 ઉમેદવારોએ યુપીએસસી ક્વોલિફાય કરી હતી. જેથી ગત વર્ષે કરતા આ વર્ષે ક્વોલિફાય થનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં વડોદરાના ભાવેશ જગલાને 128 અને ઓમ પટેલે 830 ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો છે. ત્રણ અટેમ્પ્ટમાં નિષ્સફળ થયા બાદ ચોથા અટેમ્પ્ટમાં સફળતા મળી, હાર માન્યા વગર તૈયારી કરવી જોઇએમારી યુપીએસસીની યાત્રા વર્ષ 2022માં શરૂ કરી હતી. જોકે ત્યારે મારો પહેલો અટેમ્પ્ટ હતો. જેમાં પ્રીલીમની પરીક્ષામાં હું ફેલ થયો હતો. ત્યાર બાદ ફરી 2023માં પરીક્ષા આપી તેમાં મેઇનમાં હું પાસ ન થઇ શક્યો આ દરેક વખતે મને કઇને કઇ શીખવા મળતું હતું. કે હું ક્યા પાછો પડી રહ્યો છું. જોકે 2024માં ફરી પરીક્ષા આપી હતી પરંતુ ઇન્ટવ્યૂ પછી લિસ્ટમાં નામ ન આવતા મને તેમાંથી પણ શીખવા મળ્યું હતું. કે ગ્રૂપ ડિસકશન કેવી રીતે જરૂરી છે. ત્યાર બાદ ચોથો અટેમ્પ્ટ વર્ષ 2025માં ફરી પરીક્ષા આપી અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 128 આવ્યો. આ દરેક વર્ષે મને શીખવા મળ્યું કે સફળ થવા માટે તમારે પહેલા અસફળતાનો સામનો કરવો પડશે જે તમારી ધીરજની કસોટી લેશે. જો તેમાં હારી જશો તો આગળ નહીં વધી શકો. એટલે ધીરજ રાખી પ્રયત્ન ન છોડવા જોઇએ અને પ્રયાસ કરતા રહેવું જોઇએ.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:34 am

‘વારસાની વાતો’માં ઇતિહાસ જીવંત કરાયો:સિટીના સર્કલ-ફળિયાના નામમાં પ્રકૃતિનો વાસ, ચિકુવાડી-લાયન સર્કલ તેનાં ઉદાહરણ

વડોદરા : હેરિટેજ ટ્રસ્ટ દ્વારા શહેરના ઇતિહાસ અને વૈભવી વારસાને ઉજાગર કરતું ‘વારસાની વાતો’ નામે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઇતિહાસપ્રેમીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તા ડૉ. શ્રીનિવાસ સોલાપુરકરએ પોતાના રસપ્રદ અને જીવંત અંદાજમાં જૂના વડોદરાની ગાથા રજૂ કરી ઉપસ્થિત સૌકોઇને ઇતિહાસની સફરમાં લઈ ગયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસનકાળ દરમિયાન વડોદરાએ શિક્ષણ, સંસ્કૃતિ અને સ્થાપત્ય ક્ષેત્રે અદભૂત પ્રગતિ કરી. તેમના આમંત્રણ પર પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મ વડોદરામાં આવ્યા અને ઈન્ડો-સારાસેનિક તથા નિયો-ક્લાસિકલ શૈલીના ભવ્ય નિર્માણો દ્વારા શહેરને નવી ઓળખ આપી. આ સમયગાળામાં બનેલી ભવ્ય ઇમારતો આજે પણ વડોદરાના વૈભવી વારસાની સાક્ષી બની ઉભી છે. વડોદરાની એક રસપ્રદ અને અનોખી ઓળખ એ છે કે શહેરના અનેક વિસ્તારો અને માર્ગોના નામ પક્ષીઓ પરથી પડેલા છે. શહેરમાં લીમડા પોળ,પીપળાશેરી, બોરડી ફળિયું, ચિકુવાડી, કોયલી ફળિયા, બાજવાડા,ઊંટખાનાની ગલી, મકરપુરા, ગેંડાસર્કલ, લાયન સર્કલ, ગાય સર્કલ, ચકલી સર્કલ અને ખિસકોલી સર્કલ જેવા નામો શહેરના પ્રકૃતિપ્રેમ અને પરંપરાગત ઓળખને દર્શાવે છે. આ નામો માત્ર વિસ્તારોની ઓળખ નથી પરંતુ વડોદરાના ઐતિહાસિક વારસા અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતિક છે. આ અનોખી પરંપરા વડોદરાને અન્ય શહેરોથી અલગ બનાવે છે. આ પરંપરા શહેરની પ્રકૃતિપ્રેમી સંસ્કૃતિને દર્શાવે છે પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો આ અનોખો સંબંધ વડોદરાની વિશેષતા બની રહ્યો છે. મહારાજાની જીવનયાત્રા-દુરદર્શી નેતૃત્વશક્તિ વિશેની વાતો રજૂ કરીસત્ર દરમિયાન વડોદરાના સદીઓ દરમિયાન વિવિધ નામોથી લઈને શહેરના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સુધીના અનેક રસપ્રદ પાસાઓ રજૂ કરવામાં આવ્યા. ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જીવનયાત્રા, રાજગાદી સુધી પહોંચવા માટે મળેલી કઠોર તાલીમ અને તેમની દુરદર્શી નેતૃત્વશક્તિ વિશેની વાતો રજુ કરી હતી. સત્રમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી માહિતી પણ સામે આવી કે વડોદરાના અનેક વિસ્તારો, માર્ગો અને વિસ્તારોના નામો પક્ષીઓ પરથી પડેલા છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:32 am

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું પરિણામ:ટીટીએબી સ્મેશર્સનું ફાઇનલમાં ટી સ્ક્વેરને 3-1થી હરાવી ટાર્ગેટ હીટ

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરીને કોર્પોરેટ વ્યાવસાયિકોમાં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપ્યું હતું. બે દિવસીય ચેમ્પિયનશિપમાં સિટીની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસો તરફ કર્મચારીઓએ ભાગ લીધો હતો. કુલ 11 પુરુષોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં લગભગ 60 ખેલાડીઓ 54 પુરુષો અને 6 મહિલા ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટ્સમાં ટેબલ ટેનિસનું ટાર્ગેટ પુરુ કર્યું હતું. પુરુષોની ટીમ ચેમ્પિયનશિપમાં ટીટીએબી સ્મેશર્સે રોમાંચક ફાઇનલમાં ટી સ્ક્વેરને હરાવ્યું હતું. ટીટીએબી સ્મેશર્સને ગોલ્ડ, ટી સ્ક્વેરને સિલ્વપ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. જ્યારે મેન્સ સિંગલ્સમાં દીશા ડાયનેમિક્સના દીપક ડિમરી, મહિલા સિંગલ્સમાં શીતલ શાહને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:32 am

બોર્ડની પરીક્ષા:ધો.10માં બેઝિક ગણિતમાં સેક્શન-બીમાં શૂન્યના સરવાળા-ગુણાકારનો પ્રશ્ન અઘરો

ધો.10ના બેઝીક ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. ધો.10માં સેક્શન-બીમાં શૂન્યોના સરવાળા અને ગુણાકારવાળો પ્રશ્ન વિદ્યાર્થીઓને અઘરો લાગ્યો હતો. આ વર્ષે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પેપર જુદા જુદા દિવસે લેવામાં આવનાર છે. જેમાં બેઝીક ગણિતનું પેપર શુક્રવારે લેવામાં આવ્યું હતું. જયારે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા 9 માર્ચ સોમવારે લેવાશે. બેઝીક ગણિતના પેપરમાં કુલ 39954 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37318 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 636 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રના પેપરમાં 4327 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 4240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, 87 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સાયન્સમાં અંગ્રેજીની દ્વિતિય ભાષાની પરીક્ષામાં 2719 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 2706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 13 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભાસ્કર એક્સપર્ટપ્રશ્નપત્ર સામાન્ય વિદ્યાર્થીઓને અઘરું લાગે તેવું નીકળ્યું હતુંપેપર સામાન્ય વિદ્યાર્થીઓની કસોટી કરે તેવું હતું. પ્રશ્નો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય તથા ઉદાહરણોમાંથી હતા. સેક્શન-એમાં પ્રશ્ન નંબર 10, 18 અને 23-24 નંબરના જોડકા વિદ્યાર્થીઓને વિચાર કરાવે તેવા હતા. સેક્શન-બીમાં પ્રશ્ન 26માં શુન્યોના સરવાળા અને ગુણાકારવાળો પ્રશ્ન અઘરો લાગી શકે તેવો હતો તથા 35માં પ્રશ્નમાં ત્રિજ્યાને બદલે વ્યાસ આપી પરીક્ષકે કસોટી કરેલી છે. સેક્શન-સીમાં 39 તથા 44મો પ્રશ્ન પણ કસોટી કરે તેવો હતો. પરંતુ કોઈપણ 6 પ્રશ્ન લખવાના હોવાથી તકલીફ પડી નહીં. પ્રમેય દર વર્ષની માફક જ પૂછેલા હતા પરંતુ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની પ્રતિજ્ઞા લખવી જરૂરી હતી.- કૃણાલ શાહ, તજ્જ્ઞ

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:30 am

યુનિ.ના ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં વિવાદ:રેસલિંગમાં ગોલ્ડ મેડલ લાવીને મ.સ.યુનિ.ને ગર્વ અપાવનાર વિદ્યાર્થીઓની ફી માફ ન થઇ

મ.સ.યુનિ.ના ફીઝીકલ એજયુકેશન વિભાગના રેસલીંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માફ ન કરી અપાતાં વિવાદ સર્જાયો છે. ફી ભરવા લેખીતમાં યુનિવર્સિટીમાંથી સરકયુલર આવ્યો છે કે નહિ તે બતાવવા માટે વિદ્યાર્થીએ કહેતા શિક્ષકે કહ્યું કે, મૌખીક સૂચના છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 3 વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હોવા છતાં તમને ફી માફી ન અપાતાં વિવાદ થયો છે. રેસલીંગમાં ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીને 1 મહિના ઉપરાંતથી અરજી લખી આપવા દબાણ કરાતું હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ફીઝીકલ એજ્યુકેશનના સત્તાધીશોએ ફી ભરવા પાત્ર છો તેવી અરજી લખવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે, પોર્ટલ પર હજુ ફી ભરવા કશું દેખાડી રહ્યું નથી. છતાં ફીઝીકલ એજયુકેશન વિભાગના સત્તાધીશોઓએ જો ફી ભરવામાં નહિ આવે તો પ્રવેશ રદ થશે તેમ કહ્યું છે. બીજી તરફ સત્તાધીશોએ આ મુદ્દે કોઇ ટીપ્પણી કરી ન હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, 3 વિદ્યાર્થીઓને એપ્લીકેશન લખવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ થઇ જશે તેવું પણ કહેવામાં આવતા ત્રણમાંથી બે વિદ્યાર્થીઓ એપ્લીકેશન લખીને આપી દીધી છે. ફી અંગે પોર્ટલ ઉપર અપડેશન કરાતું નથીવિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફી ભર્યા બાદ પોર્ટલ પર કેટલી ફી ભરવાની છે તે એપડેટ થશે, જોકે આવો નિયમ નથી. તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફી ભરવામાં આવે. જેના પગલે વિદ્યાર્થી વિમાસણભરી સ્થિતીમાં મૂકાયો છે. ભાસ્કર ઇનસાઇડહું ફી ભરવા પાત્ર છું, તેવી અરજી લખાવવામાં આવે છેફી લેવા માટે વિદ્યાર્થી પાસે એપ્લીકેશન લખાવામાં આવી રહી છે. વિદ્યાર્થી ફી ભરવા માટે સક્ષમ છે તેવી એપ્લીકેશન બાદ તેની પાસે ફી ભરવામાં આવી રહી છે. જો ફી વેવઓફ જ કરી દેવાઇ છે તો એપ્લીકેશન કેમ લખાવામાં આવી રહી છે. એપ્લીકેશનના માધ્યમથી તેમની વેવઓફ થયેલી ફીની જગ્યાએ ફી ભરવાની થાય તે માટે એપ્લીકેશન લખાવીને પછી પોર્ટલ પર ફી મૂકવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:29 am

હોળી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું:દ્વારકેશલાલજીના સાંનિધ્યમાં વ્રજના પરંપરાગત હોળી રસિયા યોજાયા

અગ્રવાલ વિશ્વ ધાર્મિક સંસ્થાન, વડોદરા દ્વારા હોળી પર્વ નિમિત્તે ભવ્ય હોળી રસિયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વ્રજના પરંપરાગત રસિયા ભજન, ગાયક મિતેશ ગાંધર્વના સુમધુર સંગીત તેમજ ભગવાન કૃષ્ણની ભક્તિ પર આધારિત આકર્ષક નૃત્ય અને ભજનની સુંદર રજૂઆતો થઈ હતી. આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ ધાર્મિક મહત્તા પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમ સર સયાજીરાવ નગર ગૃહ, અકોટા, વડોદરા ખાતે રાત્રે 9 વાગ્યે યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરા શહેરના અગ્રવાલ સમાજના બંધુઓ તથા વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અગ્રવાલ વિશ્વ ધાર્મિક સંસ્થાનના પ્રમુખ હેમંત અગ્રવાલે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સતત યોજાતી રહે છે. આગળ પણ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2026 દરમિયાન શ્રીલંકાના અશોક વાટિકા ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:27 am

રામેશ્વર મહાદેવ મંદિરે હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમ યોજાયો:નવાયાર્ડમાં ભારત માતાની મૂર્તિની સ્થાપના, આજે ખાટુશ્યામ-સાવરિયા શેઠની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા

શહેરના નવાયાર્ડ ડિ-કેબિન પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શુક્રવારે ભારત માતા મંદિરની સ્થાપના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ હતી. આ પ્રસંગે તેઓ અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થયા હતા. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટુશ્યામ અને સાવરિયા શેઠની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા શનિવારે થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રામેશ્વર મહાદેવ મંદિર વડોદરાની આસ્થાનું પ્રાચીન અને અત્યંત પવિત્ર કેન્દ્ર છે. અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ રેલવેના અસ્તિત્વ પૂર્વેથી પેઢીઓથી નગરજનોને આશીર્વાદ આપી રહ્યું છે. આસપાસની કોલોનીના દરેક પરિવારે દર મહિને દાન થકી રકમ એકત્રિત કરીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ સહયોગ કોઈ મોટા દાતાના દાન કરતા પણ અનેકગણો વિશેષ છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા અરવિંદાચાર્યજી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. શનિવારે સવારે 8 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શરૂ કરાશે. જેમાં મધ્યપ્રદેશથી ખાસ બોલાવવામાં આવેલ ભજન મંડળી સાંજે સાડા પાંચ વાગ્યાથી ખાટુશ્યામના ભજનોની રમઝટ જમાવશે. વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો અગ્રણીઓ પોતાનું વક્તવ્ય આપશે. પૌરાણિક મંદિરમાં શિવલિંગ ખાડામાં હતુંરેલવેના પરિસરમાં આવેલા આ મંદિરમાં 17 પ્રતિમાની સ્થાપના કરાઈ છે. પૂર્વકાળમાં આ જગ્યા પર ખાડામાં સ્વયંભૂ શિવલિંગ હતું. જેના પર વરસાદનું પાણી પણ ભરાઈ જતું હતું. કાળક્રમે મંદિરનો વિકાસ થયો હતો. પરંતુ અસામાજિક તત્વોને પગલે લોકો મંદિરે જવાનું ટાળતા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આહ્વાનરામેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ કરવો હશે તો સરકાર 25 લાખ રૂપિયા આપશેરામેશ્વર મહાદેવ મંદિરના ભાવિ વિકાસ માટે સૂચન કરતા નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જો મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રજૂ કરાશે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 25 લાખની સહાય પૂરી પડાશે. દીકરીઓની સુરક્ષા માટે માતા અને બહેનો રાણી લક્ષ્મીબાઈ બનેનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાઓ અને બહેનોને દીકરીઓના રક્ષણ માટે રાણી લક્ષ્મીબાઈ બનવા આહ્વાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ચેતવણી આપી કે, જે કોઈ ઈસમ ઓળખ છૂપાવી, ખોટું નામ ધારણ કરી દીકરીઓને ફસાવી લગ્ન કરશે તો તેમની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કડક કાયદાકીય પગલાં ભરશે. આવા ગુનેગારોને જિંદગીભર જેલની સજા થાય તેવી જોગવાઈ સાથે સરકાર મજબૂતાઈથી કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં પોલીસ તંત્રએ અનેક દીકરીઓને આવા વિષચક્રમાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મેળવી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:25 am

વેપારીને શોધવામાં નિષ્ફળતા મળી:સમા કેનાલમાં લાપતા વેપારીનો ત્રીજા દિવસે પણ પત્તો ન લાગ્યો

ધુળેટીએ સમા કેનાલમાં લાપતા થયેલા શાકના વેપારીનો 3 દિવસે પત્તો નથી. ફાયરબ્રિગેડે બે વાર પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી હતી. શુક્રવારે ફરી સર્ચ કર્યું હતું. બટાટાની લારી ચલાવતો અજય શર્મા રામકિશન અને અન્ય મિત્ર સાથે સમા કેનાલે ગયો હતો. અજયના ભાઇ રાહુલે કહ્યું કે,કેનાલમાં હાથ-પગ ધોતાં અજય તણાયો હતો. રામકિશન બચાવવા જતાં તે પણ તણાવા માંડ્યો હતો. ત્રીજા મિત્રે દોરડું ફેંકતાં રામકિશને પકડી લેતાં બચાવ થયો હતો, જ્યારે અજય પાણીમાં ગરક થયો હતો. છાણીમાં કેનાલના ગેટ બંધ, કચરો જામ્યો, છેવટે પરિવારે ખાનગી ગોતાખોરો મગાવ્યાઅજયનો પત્તો ન મળતાં પરિવારે 8 હજાર ચૂકવીને પાદરાથી ખાનગી ગોતાખોરો બોલાવ્યા હતા. જોકે તેઓ અજયને શોધી શક્યા નથી. અજયના પરિવારજનો અને મિત્રો છાણી કેનાલે ગયા હતા. જ્યાં દરવાજા લોક હોવાથી કચરો જમા થયો હતો. સ્થાનિક તરવૈયાએ કહ્યું કે, કચરા નીચે અજય હોઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:21 am

બરોડા ડેરી માટે મેન્ટેડ ન આપ્યો:ઉમેદવારોને ફોન કરીને કહ્યું, તમે ભાજપના ઉમેદવાર છો

બરોડા ડેરી માટે ભાજપે મેન્ટેડ આપ્યો નથી. ઉમેદવારોને ફોન કરીને કહી દીધું કે, તમે ભાજપના ઉમેદવાર છો. ડેસરમાં સુરપાલસિંહને ફોન કરી ભાજપના ઉમેદવાર બનાવાયા છે. વર્તમાન કુલદિપસિંહને બદલે તેમને ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ મેન્ડેટ આપે તે પહેલાં વર્તમાન 7 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાતાં પાર્ટીના મેન્ડેટનો અર્થ સરતો નહતો. જેથી ભાજપે હવે બાકી બચેલા ઉમેદવારોને મેન્ડટ આપવાને બદલે ફોન કરીને જાણ કરી છે. જેમાં ડેસરમાં સુરપાલસિંહને ફોન કરીને ભાજપના ઉમેદવાર બનાવાયા છે. તેવી જ રીતે વડોદરામાં શૈલેષ પટેલ, સતીષ પટેલ, દીક્ષિત પટેલ, સાવલીમાં રામસિંહ બિનહરીફ થયા હતા. બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામા અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીને ભાજપે ફોન કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પહેલેથી જ બિનહરીફ હોવાથી ફોન કરવામાં આવ્યા નથી. તમામ બિનહરીફ વિજેતાઓને ભાજપે પોતાના માની લીધા છે. બરોડા ડેરીની ચૂંટણી માટે કુલ 55 ફોર્મ આવ્યાં હતાં, જેમાંથી 24 ફોર્મ અમાન્ય ઠર્યાં છે. સાવલીના ધારાસભ્યની ચૂંટણી નહીં લડવાની ફરી જાહેરાતસાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે 2027માં વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની ફરી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ છેલ્લી ચૂંટણી એવી જાહેરાત કરી હતી. યુવાનોને તક મળે તે માટે હું ચૂંટણી લડવાનો નથી. તેમણે ડેરીની ચૂંટણી સંદર્ભે કહ્યું કે કોઇ પણ સંસ્થા જે લાખો લોકોની આજીવિકા પૂરી પાડે છે તેમાં ગેરરીતિ બહાર આવે તો ભાજપ ચલાવી લેવા માગતો નથી. મંડળીઓમાંથી દૂધ ઓછું આવી રહ્યું છે. મંડળી ઘટી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:17 am

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જંગ જામ્યો:દિવાળીપુરા કોર્ટમાં ગુજરાત બાર કાઉન્સિલનું મતદાન સંપન્ન, 2723 વકીલોએ મત આપ્યા

દિવાળીપુરા કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી શુક્રવારે થઈ હતી. જેમાં વડોદરાના 4713 વકીલ મતદાન કરી શકે તે માટે બીસીજીની દેખરેખમાં દિવાળીપુરા કોર્ટમાં મતદાન કેન્દ્રની વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં 11 સીસીટીવી લગાડ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાં વડોદરાનાં 3 મહિલા ધારાશાસ્ત્રી સહિત 9 વકીલો મેદાનમાં છે. જેમાં એડવોકેટ શિતલ ઉપાધ્યાય, નિમિષા ધોત્રે, અનિષા સૈયદ, રણજિત રાઠોડ, જગત દેસાઇ, રશીદ વોરા, નલીન પટેલ, વિક્રમ પઢિયાર અને યુનુસખાન પઠાણનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા માટે એડવોકેટ અલકાબેન જાદવ, સહાયક ચૂંટણી અધિકારી તરીકે રોહિત શાહ, પ્રદિપ શાહ, હિતેશ પટેલ અને વિરાજ ઠક્કરની નિમણૂક કરાઈ હતી. ચૂંટણી અધિકારીએ કહ્યું કે, સવારે 10થી સાંજે 6 સુધી મતદાન થયું હતું. 4713 વકીલોની મતદાર યાદી બનાવાઈ હતી. જે પૈકી 2723 મતદારે સાંજે 6 સુધી વોટ આપ્યો હતો. હાઈકોર્ટ ઓડિટોરિયમમાં 9મીએ મત ગણતરી કરાશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:15 am

ભાસ્કર એક્સક્લુસિવ:બાકી વેરા મુદ્દે નાગરિકોની મિલકતો સીલ કરતી પાલિકા 20 કરોડ વસૂલવામાં સુસ્ત

7609 કરોડ રૂપિયાનું રૂપેરી બજેટ રજૂ કરીને વડોદરાને 2047ના રોડ મેપના વિકાસનું સપનું શાસકો બતાવી રહ્યા છે, જોકે 19.99 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. નવાઇની વાત તો એ છે કે, વડોદરા પાલિકાના ઓડિટ વિભાગે વિકાસનાં કામોના તોતિંગ ખર્ચા સામે 34 કિસ્સામાં લાલ આંખ કરીને 20 કરોડ રૂપિયા વસૂલાતને પાત્ર હોવાની સત્તાવાર ટકોર કરી છે. નોંધનીય છે કે, પાલિકાના વર્તમાન શાસકો માટે છેલ્લી બજેટ સભા રહેશે. વડોદરા સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર છે. વડોદરા મહાનગર પાલિકાના ઓડિટ વિભાગે દર વર્ષની જેમ વર્ષ 2024-25માં પણ બિલોની ચકાસણી કરી હતી. જેમાં એફોર્ડેબલ હાઉસિંગ સેલ સહિતના જુદા જુદા વિભાગોના રેકર્ડ અને ફાઇલોની તપાસણીમાં 23.99 કરોડ રૂપિયાની જંગી રકમ વસૂલાત પાત્ર હોવાનો સત્તાવાર ભાંડો ફૂટ્યો હતો. જેમાં એકલા સુએઝ વિભાગના જ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાયના કરારની ફાઇલની તપાસણીમાં 16.82 કરોડ રૂપિયાની રકમ વસૂલાત પાત્ર હોવાની સત્તાવાર નોંધ મૂકી હતી. જોકે 4 કરોડ રૂપિયાની વસૂલાતનો અંદેશો આપી દેવાયો હતો. પાલિકાના ઓડિટ વિભાગે 34 કિસ્સામાં વસૂલાત પાત્ર હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ 24 કિસ્સામાં તેની ગંભીરતા લેવાઇ નથી. ગેસ-વેરાની વસૂલાત માટે ભૂરાટાં બનતા પાલિકાના સત્તાધીશો પોતાની વસૂલાત સામે આંખ આડા કાન કરે છે તે ઓડિટ રિપોર્ટમાં ખૂલ્યું છે. 19.99 કરોડની વસૂલાત માટે જવાબ મળ્યો નથીદર વર્ષે ખર્ચ સહિતનું ઓડિટ કરીએ છીએ. 2024-25માં જમા તપાસણી વિભાગની માહિતી મુજબ 23.99 કરોડ વસૂલાત પાત્ર હોવાનું જણાયું હતું. 4 કરોડની વસૂલાતનો ખુલાસો કર્યો છે. જ્યારે 19.99 કરોડના નિકાલનો જવાબ મળ્યો નથી. > એચ.એમ. રાવ, ચીફ ઓડિટર, પાલિકા વિવિધ વિભાગે જવાબ રજૂ કરવા તસ્દી લીધી નથીઓડિટ રિપોર્ટ મુજબ હાઉસિંગ વિભાગ, ટાઉન ડેવલપમેન્ટ, વોર્ડ 3ના રેવન્યુ-સેનેટરી વિભાગ, વોર્ડ 2ના રેવન્યુ વિભાગ, વોર્ડ16ના ઇજનેરી-રેવન્યુ વિભાગે વાંધાનો નિકાલ કરવાની પરવાહ કરી નથી. જ્યારે વોર્ડ 17ના રેવન્યુ, વોર્ડ 19ના રેવન્યુ, વોર્ડ 6ના રેવન્યુ, વોર્ડ 10ના એન્જિનિયરિંગ, વોર્ડ 12ના રેવન્યુ વિભાગે પણ વાંધા સામે જવાબ રજૂ કર્યા નથી. ટ્રીટેડ વેસ્ટ વોટરના કરારમાં ‘રિકવરી’નું ઓડિટ

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:10 am

સિટી એન્કર:રાજ્યમાં પ્રથમવાર શિક્ષણ સમિતિએ પર્ફોર્મન્સ-રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો વિદ્યાર્થીઓ કલાની પ્રસ્તુતિ કરી શકશે, 121 સ્કૂલના કાર્યક્રમો પ્રસારિત થશે

ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલની 136 વર્ષ જૂની ઇમારતમાં સમિતિ સંચાલિત અત્યાધુનિક પર્ફોર્મન્સ-રેકોર્ડિંગ સ્ટુડિયો શનિવારથી શરૂ થશે. રાજ્યની તમામ શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો આ પહેલો સ્ટુડિયો છે. જ્યાં સમિતિની 121 સ્કૂલોના વિદ્યાર્થી અને શિક્ષકો નૃત્ય, વક્તૃત્વ, ગાયન અને પોડકાસ્ટ સહિતની કલાની પ્રસ્તુતિ કરી શકશે, જેનું રેકોર્ડિંગ કરાશે અને સમિતિની અન્ય સ્કૂલોમાં પ્રસારણ કરાશે. શાસનાધિકારી ડો.વિપુલ ભરતિયાએ કહ્યું કે, સ્ટુડિયો માટે હાઇક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, કેમેરા, લાઇટિંગ સહિતનાં ગેજેટ્સ ખરીદાયાં છે. અલાયદો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે. આ તમામ સ્કૂલો સાથે જોડાયેલો હશે. તેથી જે કાર્યક્રમ થશે તે સમિતિની બધી સ્કૂલોમાં પ્રસારિત કરી શકાશે. ઉપરાંત કોઇ વિશેષજ્ઞને કોઇ કાર્યક્રમ કે પિરિયડ લેવો હશે તો પણ તે રેકોર્ડ કરી શકાશે. આ માટેનો ખર્ચ 20 લાખ જેટલો થયો છે. સ્કૂલના મહત્ત્વના સમાચારોનું પ્રસાર થશેસમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું કે, અમે સમિતિની સ્કૂલોના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને તક આપવા ઇચ્છીએ છીએ. દરેક સ્કૂલના મહત્ત્વના સમાચારો, બાળકોની સિદ્ધિઓ જેવી બાબતોને આવરીને સમાચાર તૈયાર કરાશે. આ સમાચારોનું દર શનિવારે પ્રસારણ કરવામાં આવશે, જેથી અન્ય વિદ્યાર્થીઓ અને સ્કૂલોને પણ પ્રેરણા મળશે. સમાચાર વાચક તરીકે વિદ્યાર્થીઓને જ તૈયાર કરવામાં આવશે. આ ઇમારતનું નિર્માણ ગાયનશાળા માટે કરાયું હતુંઆ ઇમારતનું નિર્માણ મૂળે ગાયનશાળા માટે કરાયું હતું. અહીં ગાયકી અને સંગીતની તાલીમ અપાતી હતી. વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલની સ્થાપના 1937માં કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:04 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન યુદ્ધની અસર, ઘરેલુ સિલિન્ડર ₹60 મોંઘું થયું; મોરબીમાં ગેસની અછતથી 100 કારખાના બંધ, 350 બંધ થવાના આરે; ઈરાનનું એક યુદ્ધ જહાજ ભારતમાં

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રસોઈ ગેસ સાથે જોડાયેલા છે. ઘરેલું સિલિન્ડર 60 રૂપિયા મોંઘું થઈ ગયું છે. ઈરાન જંગના કારણે સરકારે કંપનીઓને પ્રોડક્શન વધારવાનો નિર્દેશ આપ્યો છે. બીજા સમાચાર કર્ણાટકમાં બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી સાથે જોડાયેલા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ મુર્મૂ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના પ્રવાસે રહેશે. તેઓ 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં સામેલ થશે. કાલના મોટા સમાચારો 1. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો:ઈરાન યુદ્ધથી રાંધણ ગેસની અછતની શક્યતા; સરકારે LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસના બાટલાની અછત પણ વધશે. આ સ્થિતિને જોતા સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે ગેસનો પુરવઠો પ્રભાવિત થવાની પૂરેપૂરી સંભાવના છે. આ જોખમને જોતા સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કર્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 2. UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર:રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રી ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય; ગુજરાતના 34 વિદ્યાર્થીઓ પાસ થયા UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. રાજસ્થાનના કોટાના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ઉપલબ્ધ છે. આ વખતે UPSCનું પરિણામ ગુજરાત માટે સારું રહ્યું છે. ગુજરાતનો નિસાર દિશાંત અમૃતલાલનો 19મો રેન્ક છે. જ્યારે ઓવરઓલ ગુજરાતનું પરિણામમાં 34 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત રાજ્યમાં UPSC રિઝલ્ટના ઇતિહાસમાં આ સૌથી વધુ પાસઆઉટ વિદ્યાર્થીઓ છે. અગાઉ ગત વર્ષે કુલ 26 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ભારત 30 દિવસ સુધી રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદી શકશે:અમેરિકાએ 3 એપ્રિલ સુધી ખાસ લાઇસન્સ આપ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે નહીં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને 30 દિવસનું સ્પેશિયલ લાઇસન્સ આપવાની જાહેરાત કરી છે. આ લાઇસન્સ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાનો એક આવશ્યક ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કર્ણાટકમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી:પ્રસ્તાવ- 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ માટે માતાપિતાની પરવાનગી જરૂરી કર્ણાટક સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે 2026-27ના રાજ્ય બજેટ ભાષણ દરમિયાન તેની જાહેરાત કરી. બજેટ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાળકોમાં મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જેનાથી તેમના પર નકારાત્મક અસર પડી રહી છે.’ સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટ્રમ્પે કહ્યું- ઈરાન શરત વગર સરેન્ડર કરે, તો જ સમજૂતી:નવી સારી લીડરશિપ પસંદ કરીશું; ઈરાનને બીજીવાર ગ્રેટ બનાવીશું આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો સાતમો દિવસ છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈપણ સમજૂતી ફક્ત ત્યારે જ શક્ય છે જો ઈરાન કોઈપણ શરત વગર સરેન્ડર કરે. તેમણે કહ્યું કે આ પછી ઈરાનમાં એક નવું અને સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાન શરત વગર સરેન્ડર નહીં કરે સ્વીકારે નહીં ત્યાં સુધી તેની સાથે કોઈ સમજૂતી થશે નહીં. તેમણે કહ્યું કે શરણાગતિ સ્વીકાર્યા પછી ઈરાનમાં વધુ સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો રેલો ગુજરાત પહોંચ્યો:મોરબીમાં ગેસ સપ્લાય બંધ થતાં 100 કારખાનાને તાળાં લાગ્યા; વધુ 350 બંધ થવાની ભીતિ; શ્રમિકોનું પલાયન અટકાવવાના પ્રયત્નો શરુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આંચ હવે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ સુધી પહોંચી છે. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા છેલ્લા બે જ દિવસમાં મોરબીના 100 જેટલા સિરામિક એકમ બંધ થઈ ગયા છે. આ કપરા કાળમાં ઉદ્યોગપતિઓએ આર્થિક નુકસાનની ચિંતા છોડીને માનવીય અભિગમ અપનાવ્યો છે, જેથી અહીં રોજીરોટી માટે આવેલા લાખો કામદારોને કોઈ તકલીફ ન પડે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. દેશના સૌથી સુરક્ષિત શહેરના ધજાગરા ઉડાવતા CCTV:ફોર્ચ્યુનરમાંથી ઉતરી પિતા-પુત્રને ચપ્પુનાં ઘા ઝીંક્યા, પૈસાની લેતીદેતીમાં યુવકને અધમૂઓ કર્યો; એક દિવસમાં મારામારીની બે ઘટના અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં છરી લાકડી જેવા હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠક્કરબાપાનગર અને ઇસનપુર પોલીસ સ્ટેશનના શાહઆલમમાં મારામારીના બનાવ સામે આવ્યા છે. શાહઆલમમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઠક્કરબાપાનગરના માધવ મોલમાં પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને ઘટના 3 માર્ચના રોજ બની હતી. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચારધામ યાત્રા 2026: ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ:ઘરે બેઠા અરજી કરી શકો છો, 9 સ્ટેપમાં જાણો સંપૂર્ણ પ્રક્રિયા; 19 એપ્રિલથી યાત્રા શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના ટેરિફ પર ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટનો નિર્ણય:કંપનીઓને ટેરિફના 14.5 લાખ કરોડ રૂપિયા પાછા આપવા પડશે, સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અનિલ-અંબાણીની રિલાયન્સ પાવરના ઠેકાણાઓ પર EDના દરોડા:સવાર થતા પહેલાં જ 14 ટીમો પહોંચી હતી; બેંક લોન અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે મામલો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાંથી 24 કલાકમાં માત્ર 2 જહાજ પસાર થયા:વિશ્વનો 20% તેલ સપ્લાય અટક્યો; રક્ષા મંત્રીએ કહ્યું- ભારતના તેલ-ગેસ પુરવઠા પર સીધી અસર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું 3 દિવસમાં 8,000 સસ્તું, ₹1.59 લાખ પર આવ્યું:ચાંદી ₹26,000 ઘટીને ₹2.63 લાખ પર આવી, 36 દિવસમાં ₹1.23 લાખ સસ્તી થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ગુજ્જુ ત્રિપુટીના દમ પર ઈન્ડિયા ફાઈનલમાં પહોંચ્યું:બુમરાહ-હાર્દિકની બોલિંગ ને અક્ષરની ફિલ્ડિંગથી સેમિ ફાઈનલ સુધી જીત મળી; સેમસને પણ તક ઝડપી લીધી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મલેશિયામાં રહેતા વ્યક્તિના 42 દાંત, બે હજી નીકળવાના બાકી મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના વ્યક્તિએ સૌથી વધુ દાંત હોવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્રથાબના મોઢામાં 32ને બદલે 42 દાંત છે. આ રેકોર્ડને 2023માં સત્તાવાર રીતે માન્યતા મળી હતી. જોકે, હવે તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના હજી બે વધુ દાંત નીકળવાના બાકી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : પૂનમબેન માડમનું નારિયેળ બરાબર ઠેકાણે પડ્યું!:પારંપરિક રમતોમાં પાવરધા સાબિત થયા સાંસદ મહોદયા; જોઈ લો, નેતાઓનું ગેરનૃત્ય 2. ફિલ્મી ફેમિલી : પિતાને જીવનભર નફરત ને સાહિર-અમૃતાનો અધૂરો પ્રેમ:મોત બાદ ઘરમાંથી 500 મરેલાં કબૂતરો નીકળ્યાં, લતા મંગેશકર સાથેના ઝઘડાએ સંગીતકારને ફૂટપાથ પર લાવી દીધો 3. ઇઝરાયલી વિપક્ષી નેતાએ કહ્યું, ઈરાનીઓ અમારા ભાઈ-બહેન:'ખામેનીનું મૃત્યુ ઈરાન માટે સારું છે, ત્યાંની સરકાર આતંકવાદી' 4. ઉનાળાંની શરૂઆત થતાં જ રેશીઝ કે ફોલ્લીઓ થઈ ગઈ છે?:ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો 10 ઘરેલું ઉપચાર, જો 6 સંકેતો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો 5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : અંડરવર્લ્ડ ડોનના પ્રેમમાં મોનિકા બેદીએ કરિયર ગુમાવી:બિઝનેસમેન માનીને દિલ આપ્યું, રિયલમાં 'ડી ગેંગ'નો અબુ સાલેમ નીકળ્યો; સંજય દત્તની હીરોઈને જેલવાસના કિસ્સા કહ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:મકર-મીન રાશિ માટે ભાગ્યોદયના સંકેત, ધન જાતકોએ રોકાણ કરવું ફાયદાકારક; મેષ-સિંહ રાશિએ થોડી સાવધાની રાખવી જરૂરી (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 5:00 am

અરવલ્લી આંગણવાડી કર્મચારી સંગઠનનું આવેદન‎ અપાયું:બજેટમાં આંગણવાડી કાર્યકરો માટે જોગવાઇ ન કરતાં આક્રોશ

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નોને લઇ અને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અમલ ન કરાતાં તેના વિરોધમાં જિલ્લાની તમામ તાલુકા મથકે આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદન અપાયું હતું. મહિલા સંગઠનને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અમલ ન કરાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મહિલા કાર્યકરો માટે બજેટમાં કોઈ જોગવાઈ ન કરાઈ હોવાનો અને આંગણવાડી મહિલા કાર્યકરોને મોબાઈલ દ્વારા કરવાની થતી કામગીરીનો સખત વિરોધ નોંધાયો હતો. મોડાસા ખાતે વિરોધ પ્રદર્શનમાં આંગણવાડી કર્મચારી સંગઠનના ઉર્મિલાબેન પરમાર અનસુયાબેન તેમજ જાગૃતીબેન તેમજ રમીલાબેન સહિતની મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:40 am

માર માર્યો:ઈડરમાં યુવકના કપડાં ફાડી નાખી રંગછાંટી માર માર્યો

ઈડરમાં ધૂળેટીની સાંજે મોતીસરા બાવજીના મંદિરે દર્શન કરવા નીકળેલ રામદ્વારા વિસ્તારમાં રહેતા યુવકને મંદિરની પાસે બેઠેલા યુવકોએ કપડાં ફાડી નાખી રંગવા મામલે ઠપકો કરવા ગયેલ યુવકના પરિવારને લાકડીઓ, કડુ મારી પથ્થરમારો કરી ઈજાઓ કરતાં ઈડર પોલીસ સ્ટેશનમાં 7 સામે ફરિયાદ નોંધાઈ હતી. ઈડરના રામ દ્વારા મંદિરની સામે ઘાંટી રોડ પર રહેતા સચિન રમેશભાઈ નટુભાઈ ભોઈ મોતીસરા બાવજીના મંદિરે જઈને આવું છું કહી ઘેરથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફાટેલા કપડાં અને રંગવાળો થઈને ઘેર આવતાં તેના ભાઈ મનોજ કુમારે પૂછતાં સચીને કહ્યું હતું કે મંદિરે પહોંચતા ભોઇ વાડામાં રહેતા અમિત ભરતભાઈ ભોઈ, રોહિત ભરતભાઈ ભોઈ, વિશાલ કીકમદાસ ભોઈ, કિશન કચરાભાઈ ભોઈ, સોહીલ લક્ષ્મણભાઈ ભોઈ, જીગર વસંતભાઈ ભોઈ અને દર્શન ધુળાભાઈ ભોઈ મંદિર પાસે બેઠેલા હતા અને સચિનને જોઈ જતાં પકડી લઈ પહેરેલા બધા કપડાં ફાડી નાખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:38 am

બે પાડોશીઓ બાખડ્યા:પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં પાણી ઢોળવામુદ્દે લાકડીઓ ઉછળી

પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં ધૂળેટીના તહેવાર દરમિયાન ઘરના આંગણામાં પડેલ કલર સાફ કરવા પાણી ઢોળવા મામલે બે પાડોશી પરિવારો બાખડતાં એકબીજાને લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઠ જણા સામે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. સુનિલકુમાર રાજુભાઈ ભોઈએ ફરિયાદ નોંધાવી હતી કે તા.4-3-26ના રોજ બાજુમાં રહેતા માનવ મહેશભાઈ કહાર, તેની માતા માયાબેન અને પિતા મહેશભાઈ મથુરભાઈ કહાર અવારનવાર ઘર આગળ રોડ પર પાણી ઢોળ્યું હોવાથી માનવને પાણી ન ઢોળવા કહેવા જતાં અપશબ્દો બોલ્યા હતા. નાની ભાગોળ કહારવાસમાં રહેતા તેના કાકાના દીકરા નિખિલને ફોન કરી બોલાવતા નિખિલ ભરતભાઈ કહાર અને નેપાલી કાલિદાસ કહાર આવી ગયા હતા. તેમણે અપશબ્દો બોલી ઝઘડો કરી મારવા લાગ્યા હતા. આની વિરુદ્ધમાં અસ્મિતાબેન માનવભાઈ મહેશભાઈ કહારે ફરિયાદ નોંધાવી હતી કે ધુળેટીનો તહેવાર હોય અને ઘરના આંગણામાં કલર પડેલો હોવાથી સાંજે પાણી નાખી આંગણું સાફ કર્યું હતું પાણી ઘર આગળ રોડ ઉપર ગયું હોવાથી રાત્રે બાજુમાં રહેતા રાજુભાઈ બળદેવભાઈ ભોઈ પાણી ઢોળવા બાબતે અપશબ્દો બોલતા હોય અસ્મિતાબેનના સાસુએ રાજુભાઈને અપશબ્દો બોલવાની ના પાડતાં સુનિલભાઈ રાજુભાઈ ભોઈ, હરેશભાઈ રાજુભાઈ ભોઈ અને વિજયભાઈ રાજુભાઈ ભોઈ માયાબેનને લાકડીઓ ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:38 am

સા.કાં. ભાજપ પ્રમુખની કલેક્ટર અને એસપીને રજૂઆત‎:ઓવરલોડ નામે બટાકા ભરી જતી ટ્રકોને કનડગતમાંથી મુક્તિ આપો

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરેલ બટાકા તૈયાર થઈ ગયા બાદ મોટાભાગના ખેડૂતો બટાકાનો જથ્થો વિવિધ ઠેકાણે કોલ્ડ સ્ટોરેજમાં મોકલવા માટે વાહનોમાં ભરી લઈ જઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના મોટાભાગના સ્થળે સ્થાનિક પોલીસ અથવા તો આરટીઓના અધિકારીઓ આવા બટાકા ભરેલા વાહનોને અટકાવી ઓવરલોડ હોવાનું કહીને દંડનીય કાર્યવાહી કરી રહ્યા હોવા અંગે સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખે કલેક્ટર તથા એસપીને રજૂઆત કરી આરટીઓ અને પોલીસતંત્રની ઓવરલોડના નામે થતી કનડગત દૂર કરવા માંગ કરી હતી. ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ વિવિધ કંપનીઓ સાથે બટાકાનું વાવેતર કરવા કોન્ટ્રાકટ કરી કંપનીઓ પાસેથી વિવિધ જાતના બિયારણ ખરીદ્યા બાદ વાવેતર કરી દીધું હતુ. હાલમાં ખેડૂતોએ બટાકા પાકીને તૈયાર થઈ જતાં અને ભાવ મળતા ન હોઈ તેને સાચવવા વાહનો મારફતે કોલ્ડ સ્ટોરેજમાં મુકવા લઈ જઈ રહ્યા છે. ખેડૂતોની લાચારીનો લાભ લઈ આરટીઓ તથા પોલીસતંત્ર આવા વાહનોને અટકાવી ઓવરલોડના નામે દંડ વસુલી રહ્યું છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો મોટા ટ્રકની વહન કરવાની ક્ષમતા 500 કટ્ટા હોય પરંતુ ખેડૂત પાસે 15-20 કટ્ટા વધે તો ખેડૂત વાહનચાલકને સમજાવી આ કટ્ટા ટ્રકમાં મોકલી આપે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:37 am

સ્માર્ટ મીટરનો વિરોધ:હિંમતનગર પંથકમાં સ્માર્ટ મીટરથી હાલાકી બિલની જાણ ન હોઇ વીજ સપ્લાય બંધ કર્યો

હિંમતનગર શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવી દીધા બાદ ગ્રાહકને બિલની જાણ ન થતાં પેમેન્ટ જમા ન થવાને કારણે કનેક્શન કપાઈ જતાં રોષે ભરાયેલા અનેક લોકો મોતીપુરા કચેરીએ ઊમટ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં ઓનલાઇન પેમેન્ટ ભરવા છતાં પણ વીજ સપ્લાય પુનઃ ચાલુ થવામાં સમય નીકળે છે. હડિયોલના અમૃતભાઈ કાલિદાસ દરજીએ જણાવ્યું કે હું 75 વર્ષનો છું મને સવારે ખબર પડી કે મારા ઘરમાં લાઈટ નથી. મારે કોઈ મેસેજ પણ આવ્યો નથી. બિલ મળતાં જ હું 24 કલાકમાં બિલ ભરી દઉં છું. હેલ્પરને પૂછ્યું કે મારે લાઈટ ચાલુ છે કેમ નથી તો તેણે કહ્યું કે મીટર સુધી લાઈટ છે તમારું બિલ બાકી હોવાથી વીજ સપ્લાય બંધ કરાયો છે. કચેરીએ જઈ બિલ ભરવું પડશે અમારે કચેરીએ ધક્કા ખાવાના હોય તો આ સ્માર્ટ મીટર લગાવવાનું મતલબ શું છે મારી પાસે કોઈ સાધન નથી. બધાની હવે એક જ માંગ છે સ્માર્ટ મીટર કાઢી નાખો અમારે કોઈ જરૂર નથી. હાજીપુરમાં રહેતા જીગીશાબેન શાહે જણાવ્યું કે 4 મહિના પહેલા બાલાજી પાર્ક સોસાયટીમાં જીઇબી વાળા મીટર લગાવતા હતા મેં પૂછ્યું હતું કે આ સ્માર્ટ મીટર છે કે સાદુ મીટર છે તેમણે સાદુ મીટર હોવાનો ખોટો જવાબ આપ્યો હતો. ખોટું બોલી સ્માર્ટ મીટર લગાવી ગયા છે અત્યારે ઓનલાઇન બિલ ભર્યા પછી પણ લાઈટ ચાલુ નથી કરતા અને હેરાનગતિ ઉભી કરી છે અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:35 am

પાલિકા દ્વારા કાર્યવાહી:મોડાસામાં ગંદકી ફેલાવતા, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં 12 વેપારીઓ દંડાયા

મોડાસા શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 12 કરતાં વધુ વેપારીઓ સામે પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરીને રૂ.4200 દંડ સ્થળ ઉપર વસૂલાયો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા 42 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો હતો. મોડાસા શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ અને ઉપયોગ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા ચીફ ઓફિસર ભદ્રેશ જે પટેલ પ્રમુખ નીરજ બી શેઠ અને આરોગ્ય સમિતિના ચેરમેન આશિષ ચૌધરી દ્વારા આપેલી સૂચના અપાઈ હતી. સૂચનાના ભાગરૂપે ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત ઇન્સ્પેક્ટર ચિરાગ પ્રજાપતિ દ્વારા પાલિકા કર્મીઓની ટીમ બનાવીને શહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે શહેરના મુખ્ય રોડ તેમજ બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં અને બજાર વિસ્તારમાં ટીમ દ્વારા શુક્રવારે તપાસ હાથ ધરાઇ હતી. નગરપાલિકાની ટીમ દ્વારા ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 12 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.4200 દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો અને 42 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો હતો. નગરપાલિકાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ કાર્યવાહી યથાવત રહેશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:32 am

મહિનાની વાતચીત:હિંમતનગર પાલિકાના CO ઉપેન્દ્ર ગઢવી સાથે તેમના સંઘર્ષ, પરિવારનો સપોર્ટ અને શહેરમાં કામગીરીને લઇ સવાલ -જવાબ‎

હિંમતનગર નગરપાલિકામાં તા.26-02-24 ના રોજ ચીફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળનાર ઉપેન્દ્ર ગઢવી કર્મચારીઓ અને શહેરીજનો માટે સરળતાથી મળી શકાય તેવું વ્યક્તિત્વ વ્યવહાર ધરાવે છે. સતત 8 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી 16 વર્ષમાં 9 પાલિકામાં ફરજ બજાવી ઘડાઈ પણ ગયા છે. શહેરની સમસ્યાઓ અને ફરજ દરમિયાન આવતા અવરોધોને કેવી રીતે પાર કરે છે. તેના નિરાકરણની બ્લુ પ્રિન્ટ તથા કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે તાલમેલ કેવી રીતે જાળવે છે તે અંગે દિવ્યભાસ્કરના સવાલોના તેમણે આપેલ જવાબ અહીં પ્રસ્તુત છે. Q. આપની અત્યાર સુધીની જીવનયાત્રા અને કારકર્દીનો મહત્વનો વળાંક શેને માનો છો? આ માટે કોઇ ઉપલબ્ધી, એવી કોઇ ઘટના કે કિસ્સો હોય તો જણાવશો? A. વર્ષ 2002માં બી.ઈ.મિકેનિકલ એન્જિનિયરીંગ પૂર્ણ કરી ઈન્ડસ્ટ્રીમાં નોકરી ચાલુ કરી હતી. પરંતુ સરકારી નોકરીનું લક્ષ રાખ્યું હોવાથી જીપીએસસી, યુપીએસસીની પરીક્ષાઓ આપતો રહ્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્રોનીકલ મેગેઝીન આવતું હતું. તેમાં દશા ઔર દિશા વિષય પર હિન્દી નિબંધની યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતી હોવા છતાં દેશમાં પ્રથમ નંબર આવતા મારો ઉત્સાહ અને વિશ્વાસ ઉચ્ચસ્તરે પહોંચી ગયો અને વર્ષ 2010 માં સફળ થયો. 16 વર્ષમાં 9મી નગરપાલિકા છે. Q. આપની સંઘર્ષભરી જીવનયાત્રામાં આપના પરિવારે કઇ રીતે સપોર્ટ કર્યો? A. 10 થી 12 કલાક પરિવારથી દૂર રહેવું પડે છે પરંતુ પરિવાર મારી નોકરીને સમજે છે એક શહેરથી બીજા શહેર જઉ છું ત્યારે અનુકૂળ થવામાં પરિવારની સમજ સાર્થક બની રહે છે પરિવારના સપોર્ટ વગર શક્ય જ નથી. Q. પ્રેરણા કોણે આપી હતી? A. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરી તે દરમિયાન વર્તમાન સા.કાં. ડીડીઓ હર્ષદભાઈ વોરાએ પાલનપુરમાં સેમિનારનું આયોજન કર્યુ હતુ. જેમાં હું પણ ગયો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી સરકારી નોકરી માટે આપેલ માર્ગદર્શનમાંથી પ્રેરણા મળી હતી. Q. અત્યાર સુધીની સફળતા માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવા માગતા હોય તો તે કોણ? A. માત્ર માતા. માતાએ અમને ત્રણેય ભાઈને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. સતત આઠ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો રહ્યો છતાં એક પણ વખત રોક્યો નથી ઉલટાનું પ્રોત્સાહન આપતા રહ્યા હતા. મારી સફળતાનો શ્રેય માત્ર મારી માતાને જાય છે. Q. અહીંથી ટ્રાન્સફર થાય તે પહેલા એવુ કયુ કાર્ય કરવું છે જેના થકી લોકો આપને યાદ રાખે. A. અગાઉ કહ્યું તેમ પાર્કિંગ, રખડતાં ઢોર, લારીઓ માટે કાયમી વ્યવસ્થા સહિત શહેરના સૌંદર્યીકરણ માટે મોતીપુરા સર્કલ પ્રવેશદ્વાર અને કેનાલ ફ્રન્ટ ફેઝ- 2નુ કામ કરવું છે. Q. કોઈ નિષ્ફળતા કે જેમાં શીખ મેળવી બાકી કામગીરીને સફળતા અપાવી હોય ? A. એક પાલિકામાં ફરજ બજાવવા દરમિયાન કોઈપણ કામ કરવામાં રાજકીય પદાધિકારીઓ દ્વારા અનેક અંતરાય ઉભા કરાતા હતા. કામ થઈ શકતું ન હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:હિંમતનગરમાં ટ્રાફિકના 11 પોઇન્ટ પર પોલીસ છતાં ટ્રાફિક થાય છે

હિંમતનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કુલ 11 ટ્રાફિક પોઈન્ટસ કાર્યરત કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની ઘનતા અને ટ્રાફિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ન્યાય મંદિર વિસ્તાર, મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે, ટાવર ચોક, એસટી બસ સ્ટેશન, આરોગ્યનગરના નાકે, મોતીપુરા બાયપાસ, મોતીપુરા બ્રિજ નીચે, પોલિટેકનિક ત્રણ રસ્તા, સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ ટ્રાફિક પોઈન્ટ ઉપર સ્ટાફની ફાળવણી કરાઇ છે. . સામાન્ય રીતે દરેક ટ્રાફિક પોઈન્ટ પર 2 થી 3 TRB જવાનો, 1 પોલીસ કોન્સ્ટેબલ અને જરૂરિયાત મુજબ 1 થી 2 GRD જવાનો મૂકાયા છે. પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક થાય છે પોલિટેકનિક ચોકડી ખાતે સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધી પોલીસ હાજર રહે છે. છતાં પીક અવર્સમાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. ન્યાય મંદિર ખાતે સવારે અને સાંજે વધારે ટ્રાફિક રહે છે. આ વિસ્તારમાં 2 ટીઆરબી અને 1 પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિકની ફરજમાં જોડાયેલા હોય છે. સાંજે ટીઆરબી જવાનો બાજુની હોટલમાં પાણી પીવા માટે ગયા હતા. જ્યારે કોન્સ્ટેબલ હાજર હતા. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા સહકારી જીન વિસ્તાર, છાપરિયા ચાર રસ્તા અને મહાવીર નગર સર્કલ વિસ્તારમાં સવારે અને સાંજે બે ટીઆરબી, બે જીઆરડી અને એક કોન્સ્ટેબલ હાજર હતા. સાંજના સમયે મહાવીરનગર સર્કલ ખાતે કોન્સ્ટેબલ તથા એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે એક ટીઆરબીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. સાંજના સમયે છાપરીયા ચાર રસ્તા ખાતે એક ટીઆરબી જવાન હાજર હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મેમો બુક લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. મહેતાપુરા, સવગઢ પાટિયા તથા આરટીઓ સર્કલ ખાતે સવાર સાંજ ભારે ટ્રાફિક થાય છે. મહેતાપુરા ખાતે એક કોન્સ્ટેબલ મૂકાયો છે. પરંતુ અહીં ટ્રાફિકનું નિયમન બરાબર થતું નથી. સવગઢ પાટિયા પાસે નજીકમાં જ પોલીસ સ્ટેશન છતાં ટ્રાફિકની સમસ્યા ભયંકર બની રહી છે. પોલીસ હાજર છતાં ટ્રાફિક થાય છેશહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ જટીલ છે. વળી, ગિરધરનગર બ્રિજનો છેડો અને બસ સ્ટેશનનો મુખ્ય દ્વાર અડીને છે અને અહીં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં શટલીયા વાહનોનો દિવસ દરમ્યાન અડીંગો રહતો હોવાથી ભારે હાલાકી રહે છે. ટ્રાફિક નિયમન માટે બે ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. તેની પાસે આવેલા આરોગ્યનગરના નાકે પણ એક ટીઆરબી તથા એક કોન્સ્ટેબલ હાજર હોય છે. આમ છતાં ટ્રાફિક થાય છે. બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજરમોતીપુરા બાયપાસ પર બે ટીઆરબી, બે જીઆરડી તથા એક કોન્સ્ટેબલ અને કયારેક વધારે ટ્રાફિકની સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલને પણ અહીં ટ્રાફિક વ્યવસ્થાપન માટે મૂકાયા છે. મોતીપુરામાં બ્રિજ નીચે એક ટીઆરબી, એક જીઆરડી તથા એક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે. અન્ય વિસ્તારોની જેમ અહીં પીક અવર્સની સાથેસાથે દિવસ દરમિયાન ટ્રાફિક રહેતો હોવાથી બપોરના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજર રહે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:26 am

મહિનાની વાતચીત:પાલનપુર માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક એન્જિનિયર દિલીપભાઈ વીરજીભાઈ ચૌધરી સાથે સવાલ-જવાબ

પાલનપુર માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ વીરજીભાઈ ચૌધરી 2010માં સરકારી નોકરીમાં જોડાયા. પિતાજી 2012 માં જીએસટી અધિકારીથી નિવૃત થયા, તેમના પત્ની ઉર્મિલાબેન સિંચાઈ વિભાગમાં ફરજ બજાવે છે જ્યારે નાનાભાઈ પાટણમાં મામલતદાર પદે ફરજ બજાવે છે. જ્યારે કાકા ડિસ્ટ્રિક્ટ જજથી નિવૃત્ત થયા. આમ દિલીપભાઈનું આખું પરિવાર શિક્ષણ સાથે જોડાયેલું હોવાથી બાળપણથી ઘરમાં ભણવાનો માહોલ રહ્યો. ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેમને પરિવારની નોકરીની અને જે વિભાગની જવાબદારી વહન કરી રહ્યા છે તેના રોડ મેપની વિસ્તૃત વાતો કરી હતી. સવાલ: આપની જીવનયાત્રા, કારકિર્દીના મહત્વના પ્રસંગો અને સંઘર્ષ સાથે જોડાયેલા કિસ્સાઓ વિશે શું કહેશો? જવાબ: મારૂ વતન પાલનપુરનું સેદ્રાસણ ગામ. હું જ્યાં હાલ નોકરી કરું છું તે કચેરીની નીચે જ મારા પિતા જીએસટીમાં અધિકારી હતા. 2012માં તેઓ નિવૃત્ત થયા. પરિવારનો સંપૂર્ણ માહોલ શૈક્ષણિક મારા દાદા આમ ખેડૂત પણ તેમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ એટલે તેમણે તેમના બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા. તેઓ હંમેશા કહેતા કે બૌદ્ધિક વિકાસ કરવો હોય તો ઘર કે ગામ છોડી દો. મેં સિવિલ એન્જિનિયરિંગ એટલા જ માટે કર્યું કે ભવિષ્યમાં પોતાનું કંઈક કરી શકીએ. સિવિલ એન્જિનિયરિંગનો કિસ્સો એવો યાદ છે કે મને એક માર્ક્સ ઓછો હતો એટલે સિવિલ ઇજનેરમાં એડમિશન નહોતું મળ્યું મારે એક વર્ષ રાહ જોવી પડી હતી. સવાલ: આપની કારકિર્દીમાં કેવા પ્રકારના સંઘર્ષો આવ્યા અને તેમાં પરિવારે કેવી રીતે સપોર્ટ કર્યો.? જવાબ: સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બે વર્ષની ફી 39, 800 એક સાથે ભરવાની હતી. મને આજે પણ એ વાતનો ગર્વ છે કે મારા પરિવારે મને ભણાવવા માટે દાગીના વેચી દીધા હતા. આજે હું જે કાંઈ છું તે માત્ર પરિવારના લીધે છું. સવાલ: કાર્યપાલક ઇજનેર તરીકે હાલ કેવા પ્રકારની કામગીરીને પ્રાથમિકતા આપી રહ્યા છો કઈ કઈ બાબતો અડચણરૂપ બને છે..? જવાબ: સરકારી નોકરીમાં જોડાવાની પહેલા હું આ જ વિભાગની સાથે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો એટલે હું એ બહુ સારી રીતે જાણું છું કે જે એજન્સી કામ લે છે તેને કેવા પ્રકારની મુશ્કેલી આવી શકે છે. રહી વાત પ્રાથમિકતાની તો હાલ પાલનપુરને ટ્રાફિક મુક્ત બનાવવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. બાયપાસ ખૂબ ઝડપથી બની રહ્યો છે. અનેક અડચણ હતી તે ધીરે ધીરે દૂર થઈ રહી છે. અમદાવાદમાં એરપોર્ટ રોડ જે રીતે ડિઝાઇન થયો છે એ જ ડિઝાઇનર પાસે આપણે પાલનપુર 8 લેન રોડ પ્રોજેક્ટ ડિઝાઇન કરાવ્યો છે, કલેકટર કચેરીનું કામ આવનારા બે મહિનામાં શરૂ થઈ જશે. સરકારી વસાહતના 17 બ્લોક ખાલી કર્યા છે હાલ 5 બ્લોકમાં 50 પરિવારો રહે છે. આવનારા સમયમાં અહીં પણ અત્યાધુનિક બ્લોક બનાવવામાં આવશે. એટલે પાલનપુરના લોકોને આવનારા સમયમાં કંઈક નવું મળશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:22 am

દર વર્ષે 10 લાખ રોપાઓ તૈયાર થશે:ડાવસમાં 3.5 કરોડના ખર્ચે 13 એકરમાં નર્સરી બનશે

ડીસાના ડાવસમાં રૂ. 3.5 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. 13 એકર વિસ્તારમાં બનનાર આ નર્સરીમાં દર વર્ષે 10 લાખથી વધુ ગુણવત્તાસભર રોપાઓ તૈયાર થશે, જેના દ્વારા વનીકરણ, દુર્લભ વનસ્પતિ સંરક્ષણ અને પર્યાવરણ જતનને મહત્વપૂર્ણ વેગ મળશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે ડીસા તાલુકાના ડાવસ ગામે રૂપિયા 3.5 કરોડના ખર્ચે 13 એકર વિસ્તારમાં અદ્યતન હાઇટેક નર્સરી ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. આ નર્સરી સમગ્ર રાજ્ય માટે એક મોડેલ પ્રોજેક્ટ બની શકે તેવું માનવામાં આવે છે.નર્સરીમાં આધુનિક ટેકનોલોજી અને નિયંત્રિત વાતાવરણ હેઠળ દર વર્ષે અંદાજે 10 લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવશે. છોડના ગુણવત્તાસભર વિકાસ માટે મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલીહાઉસ અને નેટહાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ સુવિધાઓના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો વિકાસ સુરક્ષિત અને ઝડપી રીતે શક્ય બનશે. ખાસ કરીને લુપ્ત થવાના આરે આવેલી વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણ માટે સોઇલ-લેસ મીડિયા જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. છોડના વિકાસ માટે ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે આ પ્રોજેક્ટમાં સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ યુનિટ પણ ઉભા કરાશે, જ્યાં દુર્લભ અને કિંમતી બીજોને વૈજ્ઞાનિક રીતે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય. સાથે જ નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને વનસ્પતિ અને વનીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ મારફતે ઓર્ગેનિક ખાતર પણ તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વસ્થ વિકાસમાં મદદરૂપ બનશે. હાલ વિલાયતી બાવળને દૂર કરવાનું કામ ચાલુ છે‎ડાવસ ગામના સરપંચ ધર્માભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વર્ષોથી વેરાન રહેલી‎જમીન હવે હરિયાળીથી ખીલી ઉઠશે. હાલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલા‎વિલાયતી બાવળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. નર્સરી શરૂ થતાં સ્થાનિક‎યુવાનોને રોજગારની તકો મળશે તેમજ આ વિસ્તાર ભવિષ્યમાં પર્યટન સ્થળ તરીકે‎પણ વિકસી શકે છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ માટે‎મહત્વપૂર્ણ યોગદાન આપશે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:14 am

મહિનાની વાતચીત:જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જેસ્મીન સાથે તેમના સંઘર્ષ, પરિવાર સપોર્ટ અને વિઝનને લઇ સવાલ-જવાબ‎

ડૉ. હસરત જેસ્મીન છેલ્લા બે વર્ષથી મહેસાણા‎જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યાં છે.‎એમબીબીએસ કર્યા પછી ગ્રામ્ય ક્ષેત્રોમાં તાલીમ‎દરમિયાન સરકારની યોજનાઓ કેવી રીતે‎છેલ્લા માનવી સુધી પહોંચે, આ વિચાર તેમને‎આઈએએસ અધિકારી બનવા પ્રેરણા આપી.‎ વ્યવસાયે તબીબ હોવા છતાં, સમાજમાં વ્યાપક‎પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે તેઓ‎સનદી સેવામાં જોડાયાં. પંજાબના લુધિયાણાથી‎શરૂ થયેલી તેમની સફર આજે ગુજરાતના‎વહીવટી તંત્રમાં એક મજબૂત ઓળખ બની છે.‎ Q: આપની જીવન યાત્રા અને‎કારકિર્દીનો મહત્વનો વળાંક કયો ?.‎A : મારો રોડમેપ પહેલાથી જ નક્કી‎હતો. UPSCની તૈયારી એ એક સંઘર્ષ‎છે, જેમાં ધીરજ, શિસ્ત અને સચોટ ‎‎અભ્યાસની જરૂર હોય છે.‎એમબીબીએસ પછી જ્યારે હું તાલીમ ‎‎મેળવતી હતી, ત્યારે ગ્રામીણ તાલીમ ‎‎દરમિયાન મને સમજાયું કે લોકો સુધી ‎‎સરકારી યોજનાઓ કેવી રીતે પહોંચે‎છે. ત્યાંથી જ મને જનસેવામાં જવાની ‎‎પ્રેરણા મળી.‎ Q : આપનો સંઘર્ષમાં પરિવાર કેવી રીતે‎મદદરૂપ રહ્યો?‎A : મારા માતા-પિતા, ભાઈ અને‎સંપૂર્ણ પરિવાર જ મારી સૌથી મોટી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તાકત રહ્યા છે. તેમણે મારા દરેક‎નિર્ણયમાં મજબૂત ટેકો આપ્યો છે.‎ Q : મહેસાણામાં કયા મહત્વના પ્રકલ્પો‎પર કાર્ય કર્યું?‎A : મહેસાણામાં અમે સુપોષિત‎મહેસાણા''ના લક્ષ્ય સાથે ઘણું કાર્ય કર્યું‎છે. ખાસ કરીને સગર્ભા માતાઓના‎સ્વાસ્થ્ય માટે અમે સર્વગ્રાહી દેખરેખ‎પ્રણાલી ઊભી કરી છે. જેમાં માતાની‎નોંધણીથી લઈને પ્રસૂતિ અને‎ત્યારબાદની સંભાળનો સમાવેશ થાય‎છે. આ ઉપરાંત, જુવેનાઈલ‎ડાયાબિટીસ, લોહીની ઉણપ‎(એનિમિયા) અને પંચાયતોને આર્થિક‎રીતે સ્વનિર્ભર બનાવવા માટે પણ અમે‎ખાસ પ્રયાસો કર્યા છે.‎ Q : આ હોદા પર કામ કરવામાં સૌથી‎રોચક વાત અને મોટો પડકાર શું છે?‎A : રસપ્રદ વાત એ છે કે, લોકો અહીં‎ખૂબ જ સહાયક છે. જ્યારે કોઈ મહિલા‎અધિકારી સામે હોય ત્યારે ગ્રામીણ‎વિસ્તારની મહિલાઓ વધુ સહજતાથી‎પોતાની વાત કહી શકે છે. અમે પણ‎તેમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ‎નિસંકોચ બોલે. વહીવટમાં પડકારો તો‎હોય જ. જેમ, વર્ષો જૂની માન્યતાઓને‎બદલવામાં સમય લાગે છે, પરંતુ‎હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએ‎તો ચોક્કસ પરિણામ મળે છે.‎ Q : જ્યારે પણ આ જિલ્લામાંથી વિદાય‎લો તો એવું શું કામ કર્યું છે કે લોકો‎આપણે યાદ રાખે?‎A : (સ્મિત સાથે) એ તો પ્રજા નક્કી‎કરશે. પરંતુ યાદ હંમેશા પ્રેમ અને‎કરેલા કાર્યથી જ આવતી હોય છે. કાર્ય કર્યું છે, મને ચોક્કસ આશા‎છે કે મહેસાણાના લોકો મને‎યાદ રાખશે. મારું ધ્યાન હંમેશા‎અંતિમ ઉપયોગકર્તા એટલે કે‎છેવાડાના માનવીને યોજનાનો‎લાભ મળે તેના પર રહ્યું છે.‎ Q : કામની વ્યસ્તતા વચ્ચે‎પરિવાર અને શોખ માટે સમય‎કેવી રીતે ફાળવો છો?‎A: કામ અને અંગત જીવન‎વચ્ચેનું સંતુલન ખૂબ જરૂરી છે.‎જ્યારે પણ સમય મળે, હું મારી‎દીકરી સાથે સમય વિતાવું છું.‎તેને ભણાવવું અને તેની સાથે‎રમવું મને ખૂબ ગમે છે. આ‎ઉપરાંત મને મારા શોખ માટે‎સમય કાઢવો પણ ગમે છે,‎જેનાથી મન પ્રફુલ્લિત થાય છે‎અને નવા વિચારો મળે છે.‎ Q : આપની પાસે હોદ્દો, સત્તા,‎પાવર અને સમસ્ત સિસ્ટમ છે‎છતાં કોઈ કામ કરવામાં‎કઠિનાઈ અનુભવો છો?‎A : જ્યારે પણ અમારી પાસે‎કોઈ પ્રશ્ન અથવા તો સમસ્યા‎લઈને આવે તો પહેલા‎સાંભળીએ છીએ. પછી‎નિરાકરણ પર જઈએ છીએ.‎રોજ નવા પ્રશ્નો આવે છે.‎સરકારની સિસ્ટમ પણ બહુ‎સારી છે. છતાં પ્રશ્નનું‎નિરાકરણ ના આવે તો‎માર્ગદર્શન માટે સરકારમાં‎મોકલીએ. મોટા ભાગે કામ‎કરતાં કરતાં નિરાકરણ આવી‎જ જાય છે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:08 am

સરપંચ દ્વારા નવું સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરાઈ:ધારપુરમાં 40 વર્ષ જૂનું પીકઅપ સ્ટેન્ડ જર્જરિત

ધારપુર ગામમાં આવેલું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું હોઈ હાલમાં અત્યંત જર્જરિત થઈ ગયું છે. અને ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ વચ્ચે ગ્રામજનો અને સરપંચ દ્વારા તંત્રને ભયજનક બાંધકામ ઉતારી નવું પીકઅપ સ્ટેન્ડ બનાવવા રજૂઆત કરી છે. પાટણ ઊંઝા હાઈવે માર્ગ ઉપર આવેલ ધારપુર ગામનું બસ સ્ટેન્ડ 40 વર્ષ જૂનું છે અને છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ જર્જરીત થઈ ગયું છે. ગામના સરપંચ હંસાબેન માંડણભાઈ દેસાઈ તથા ગ્રામજન રસિકભાઈ પટેલે આ મામલે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને રજુઆત કરતા ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી પાટણ ડેપો મેનેજર,સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ પાટણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે. ધારપુરના સરપંચે જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડના સ્લેબનો ભાગ જર્જરિત થયો હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે.ઉનાળાની ગરમીથી બચવા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડનો સહારો લે છે. તો સુરક્ષાને ધ્યાને રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ કાટમાળ દૂર કરી આધુનિક સુવિધા ધરાવતું નવું બસ સ્ટેન્ડ મંજૂર કરવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:03 am

મહિનાની વાતચીત:પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સાથે પરિવાર સરકારી સેવા અને વિઝન પર સવાલ-જવાબ

પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા પ્રાથમિક શિક્ષણનો વહીવટી કાર્યભાર સંભાળી રહ્યા છે.જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે તેમના વિકાસ માટે શુ બ્લુ પ્રિન્ટ છે.અને તેમના સંઘર્ષની કહાની વાંચો દિવ્ય ભાસ્કરના સવાલો અંગે તેમના આપેલા જવાબ. સવાલ: જિલ્લા શિક્ષણ અધિસવાલ:કારી બનવા પરિવારમાંથી કોણે પ્રેરણા આપી હતી?જવાબ: મારા પિતાશ્રી પાટણ જિલ્લાની કાંસા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. મારા પિતાશ્રી, કે જેઓ આજે હયાત નથી, તેમની પ્રેરણાથી જ હું જિ.શિ.અધિ. બન્યો છું. ધો 1 થી 7 પાટણની બગવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો આજે એ જ જિલ્લામાં જિ.પ્રા.શિ. અધિકારી બન્યો તેનો ગર્વ છે. સવાલ: આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો વળાંક શેને માનો છો? એવી કોઈ ઘટના કે કિસ્સાનું વર્ણન કરો.જવાબ: હું D.Pharm કરી જ્યારે B.Sc. માટે એક કોલેજમાં પ્રવેશ લેવા માટે પિતાજી સાથે પ્રિન્સિપાલની મુલાકાત કરવા ગયો હતો, ત્યારે પ્રિન્સિપાલે મારા પિતાજીનું અપમાન કરેલું. ત્યારથી જ જીવનમાં નક્કી કરેલું કે ટકાવારી જ એટલી લાવવી કે કોઈને ભલામણ કરવી પડે નહી. સવાલ: એવી કોઈ નિષ્ફળતા કે જેમાંથી તમે શીખ મેળવી સફળતા મેળવી હોય? જવાબ: હું પ્રથમ વખત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 ની પરીક્ષા પાસ કરી ઇન્ટરવ્યુમાં 1 માર્કસ માટે વેઈટિંગમાં આવેલ ત્યારે ઘણો જ અફસોસ થયેલો. પરંતુ માતા-પિતાના આશીર્વાદ અને કુદરતની મહેરબાનીથી એક ઉમેદવાર અન્ય જગ્યાએ જવાથી એક જગ્યા ખાલી પડેલ, પરંતુ GPSC દ્વારા વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં ના આવતા મેં હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને જિ.શિ.અધિ. તરીકે નિમણૂંક મેળવી હતી. સવાલ: જિલ્લા શિક્ષણ અધિકારી પાટણના પદે થી વિદાય લો તે પહેલાં એવું કયું મોટું કાર્ય કરવા માંગો છો, જેના થકી લોકો આપને યાદ કરે?જવાબ: જિલ્લાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, NMMS, જ્ઞાન સાધના વગેરેમાં ઉત્તમ પરિણામ લાવે અને ભવિષ્યમાં IAS અને IPS જેવા ઉચ્ચ પદ પ્રાપ્ત કરે તેવું કાર્ય કરવાની મારી ઈચ્છા છે. સવાલ: આપની દ્રષ્ટિએ જિલ્લાની/ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા કે લોકોનું દર્દ શું છે? આપની પાસે તેના ઉકેલની બ્લુપ્રિન્ટ કે યોજના શું છે?જવાબ: પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને દીકરીઓનું માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ-આઉટ રેશિયો વધુ છે તે મોટી સમસ્યા છે. સવાલ: પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં સતત સંખ્યાઓ ઘટે છે તો તેની સંખ્યા વધારવા માટે તમારી પાસે કોઈ આયોજન છે?જવાબ: દર વર્ષે ડિસેમ્બર માસથી જ સર્વેની કામગીરી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા ટેલી મેપિંગ કરી કોઈ વિદ્યાર્થી શિક્ષણ ના છોડે તેવી સમજ આપવામાં આવે છે સવાલ: જિલ્લામાં સરકારી શાળાઓ આધુનિક‎અને સુવિધા સંપન્ન બને તેના માટે કોઈ બ્લુ‎પ્રિન્ટ પ્લાન બનાવ્યો છે?‎જવાબ: વિવિધ ગ્રાન્ટમાંથી સ્માર્ટ રૂમ, RO વોટર‎કુલર, કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન‎પ્રયોગશાળા જેવી સુવિધાઓ આપવામાં‎આવે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:02 am

આત્મહત્યા:માતા-પિતાના ઝગડાથી કંટાળીને પુત્રનો ગળાફાંસો

જામનગર તાલુકાના દરેડ ગામમાં માતા-પિતાના ઝગડાથી કોલેજીયન પુત્રને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જામનગરની ભાગોળે આવેલા દરેડ ગામમાં ઘઉંના ગોડાઉન પાસે રહેતા કનૈયા હેમરાજભાઈ ગેડા (ઉ.વ.20) નામના કોલેજીયન યુવાને ગત તા.4ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની પોલીસને જાણ કરતા એએસઆઈ એચ.બી.પાંડવએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ વનરાજભાઈ હેમરાજભાઈ ગેડાએ પોલીસમાં જાહેર કર્યુ હતું કે, તેમના માતા-પિતા નાની-નાની બાબતમાં ઝઘડા કરતા હતા. નું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં યુવાનના માતા-પિતા નાની-નાની બાબતમાં ઝઘડા કરતા હતા. જેથી કનૈયાને મનમાં લાગી આવતા પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

વાતાવરણ:મહત્તમ તાપમાન 33 ડિગ્રી,ગરમીનો દૌર..

જામનગરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ સુર્યદેવતા કોપાયમાન બની રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ સ્થિર થયો છે. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. પરંતુ મધ્યરાત્રીથી પરોઢીયા સુધી ઠંડક રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા સપ્તાહથી સુર્યદેવતાએ આકરો મિજાજ દેખાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ સ્થિર રહ્યું છે. તો લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે 21 ડિગ્રી નોંધાયું છે. સુર્યદેવતાએ ઉનાળાના પ્રારંભ સાથે જ આકરો મિજાજ દેખાડી રહ્યા છે અને બપોરના સમયે લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. તો ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં 12 ટકાના વધારા સાથે 77 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિકલાકના પાંચથી દશ કિ.મી.ની રહેવા પામી હતી. હાલ આખો દિવસ ગરમી રહ્યા બાદ સંધ્યા ઢળતા જ ઠંડક પ્રસરી જાય છે અને મધ્યરાત્રીથી પરોઢીયા સુધી વાતાવરણમાં ઠંડક રહે છે. જેના કારણે હાલ મિશ્રઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

હીટ એન્ડ રન:સમર્પણ સર્કલ પાસે 2 બહેનોને કારની ઠોકર, નાની બહેનનું મોત

જામનગરના સમર્પણ સર્કલથી આગળ હીટ એન્ડ રન કેસમાં નાની બહેનનું મોત નિપજ્યું છે. જ્યારે મોટી બહેનને ઈજા પહોંચ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર ચાલકની પોલીસે શોધખોળ આરંભી છે. શહેરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક કોમલનગર સામે રહેતા અમરીબેન તુલસીભાઈ મકવાણા (ઉ.વ.39) અને તેમના નાના બહેન યશોદાબેન (ઉ.વ.25) ગત તા.27ના બપોરના સમયે સમર્પણ સર્કલથી માધવ ફાર્મ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફુલ સ્પીડમાં આવતા કાર ચાલકે બન્ને બહેનોને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટ્યો હતો. આ દરમિયાન મહિલાઓના પરિવારજનો સહિતના લોકો એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં મોટી બહેનને જમણા હાથમાંઘ ખંભાથી નીચે ફેક્ચર તથા આંખ પાસે અને શરીરે છોલછાલની ઈજા પહોંચી હતી. નાની બહેન જશોદાબેનને પેટના ભાગે તેમજ કમરના ભાગે અને માથાના ભાગે ગંભીર પહોંચી હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની ઈજાગ્રસ્ત અમરીબેનએ પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પીએસઆઈ એમ.એન.ઝાલાએ તપાસ હાથ ધરી છે. કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અકસ્માતના કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના વાહનોની સતત અવર-જવર હોવા છતાં પુરપાટ આવતી કારે ભરબપોરે અકસ્માત સર્જીને નાશી છુટ્યો હતો. પરંતુ કોઈએ તેને રોકવાની પણ કોશિષ ન કરી હોય, તેમ કાર લઈને આરોપી પલાયન થઈ ગયો હતો. પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

આયોજન:વેરો નહીં ભરનારાની મિલ્કતો જપ્ત કરવા જામ્યુકોની તૈયારી

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે, તેમ છતાં અસંખ્ય લોકોએ વેરો ભરપાઈ કર્યો ન હોવાથી કરોડો રૂપિયા બાકી છે. જેની વસુલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે અને વેરો નહીં ભરનાર આસામીની સ્થાવર/ જંગમ મિલકત જપ્તિમાં લેવા અને પાણી પુરવઠો બંધ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો, પાણી વેરો સહિતના અનેક પ્રકારના વેરા વસૂલવા માટે જુદી જુદી સ્કીમ પણ આપવામાં આવે છે, અને વ્યાજ માફી સહિતની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમ છતાં અનેક આસામીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો ભરપાઈ કરવામાં આવતો નથી. જો કે, મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મિલકત જપ્તિ અંગેના પગલાં પણ લેવામાં આવતા રહે છે. આમ છતાં પણ અનેક આસામીએ વેરો ભરપાઈ નહીં કરતા હવે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે, અને બાકીદારોના ઘરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. ઉપરાંત સ્થાવર/જંગમ મિલકત પણ જપ્તિમાં લેવામાં આવશે. તે અંગેની સત્તાવાર નોટીસ પણ પ્રસિદ્ધ કરી છે. આવા આકરા પગલાંથી બચવા તા. 31 માર્ચ 2026 પહેલા 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હોય, બાકીદારોએ સત્વરે પોતાનો વેરો ભરપાઈ કરી શકે છે. અન્યથા મિલ્કતો સીલ કરવા ઉપરાંત પાણી પુરવઠો બંધ કરવા સહિતના આકરા પગલા લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને મિલ્કત વેરો નહીં ભરનારની મિલ્કતો સીલ કરવામાં આવશે, તેમજ પાણી વેરો નહીં ભરનારના નળ જોડાણો પણ કટ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

રાષ્ટ્રીય પરિષદ:જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા નેશનલ કોન્ફરન્સમાં 300થી વધુ રસશાસ્ત્રીઓ જોડાયા

જામનગર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા ખાતે શુક્રવારથી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ રસમીમાંસા -2026 નો પ્રારંભ થયો છે. જેમાં બે દિવસ દરમિયાન 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યઓ, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિકો સહિતના ઉપસ્થિત રહેશે. જેમાં વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો, પોસ્ટરો પ્રદર્શિત કરાયા છે. જામનગરમાં ITRA ખાતે રસમીમાંસા-૨૦૨૬નો પ્રારંભ ITRA ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં બે દિવસીય આયોજનમાં વિવિધ આયોજનો કરાયા છે. જેમાં દેશભરમાંથી 300થી વધુ રસશાસ્ત્રીઓ, સંશોધકો, તજજ્ઞો, પ્રખ્યાત વૈદ્યો, વૈજ્ઞાનિકો, ઔદ્યોગિક આગેવાનો, નિષ્ણાતો, વિશ્વવિદ્યાલયના કુલપતિઓ અને આયુર્વેદના વિદ્યાર્થીઓની રસશાસ્ત્ર અંગેની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત થયા છે. તેમજ વૈજ્ઞાનિક ચર્ચાઓ, ક્લિનિકલ પૃથક્કરણ, સંશોધન પાત્રો પોસ્ટરો પણ પ્રદર્શિત કરાયા છે. આજે શનિવારે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ 5-નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થશે. તેમજ કલેકટર કેતન ઠક્કર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમો ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના માર્ગદર્શન હેઠળ અને ITRAના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના વડપણ હેઠળ યોજવામાં આવશે. રસમીમાંસા રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં દેશના ખ્યાતનામ આયુર્વેદ વૈદ્યો અને રસશાસ્ત્રીઓ ખાસ હાજરી આપશે અને ભાવી રણનીતિ તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ફરિયાદ:સાવરકુંડલામાં કેમ સામે જુએ છે કહી બે પક્ષ વચ્ચે મારામારી: 4 લોકો ઇજાગ્રસ્ત

સાવરકુંડલા શહેરના બીડીકામદાર સોસાયટીમાં ગઈકાલે સાંજના સમયે બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. મસ્જિદે નમાજ પઢીને પરત ફરી રહેલા યુવાનો વચ્ચે સામે જોવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં લોખંડની પાઇપ અને પંચ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. સાવરકુડલા બીડીકામદાર સોસાયટીમાં રહેતા રિઝવાન મહમદ જાંખરા (ઉ.વ. 27) અને તેમના મિત્ર નમાજ પઢીને રોશની પાનના ગલ્લે પહોંચ્યા હતા. ત્યારે સાદિક અયુબભાઇ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા. સાદિક તેમની સામે જોતો હોય, કેમ સામે જો છો ? પૂછતા સાદિક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ખિસ્સામાંથી પંચ કાઢી મારી દઈ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇમરાન ચૌહાણ, રાજુ ગોરી અને રસુલ લોખંડની પાઇપ સાથે ધસી આવ્યા હતા. ઇમરાને પાઇપનો ફટકો મારી ઢીંકાપાટુનો માર માર્યો હતો. હવે સામા બોલશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સામા પક્ષે પણ સાદિક અયુબ ચૌહાણ (ઉ.વ. 19) એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે નમાઝ પઢીને ઘરે જતા હતા. ત્યારે હસન જીરૂકાએ તેમને ઉભા રાખી તુ કેમ અમારી સામે જો છો ? કહી ગળચી પકડી ઢીંકાપાટુનો માર માર્યો હતો અને રીઝવાન જાંખરા લોખંડની પાઇપ વડે સાદિકને વાંસામાં માર્યો હતો. સાથે ફરદીન જીરૂકા અને ફૈજાન જાંખરા પાઈપ અને ઈંટ લઇ મારવા દોડ્યા હતા. રિઝવાને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મુદ્દે હસન કાસમ જીરૂકા, રિજવાન મહમદ જાંખરા, ફરદી જીરૂકા, ફૈજાન જાંખરા, સાદિક ચૌહાણ, ઇમરાન રસુલ ચૌહાણ, રાજુ ગોરી, રસુલ મળી કુલ 8 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સુવિધા:વરસડામાં ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

અમરેલીના વરસડામાં જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ પાણી પુરવઠા યોજના માટે 42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આર.સી.સી સંપ, વોટર ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના સાકાર થતાં અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામડાઓને શુદ્ધ પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. સાથે વરસડામાં હયાત તળાવનું 19 લાખના ખર્ચે રિનોવશન કામગીરી હાથ ધરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે તળાવના રિનોવેશન માટે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. વરસડામાં ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, તાલુકા વિકાસ અધિકારીઓ, અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બેઠક:કુંડલા પાલિકાનું 182 કરોડનું બજેટ 22 વિરુદ્ધ 7 મતે મંજૂર

સાવરકુંડલા નગરપાલિકામાં 30 સદસ્યો ભાજપના છે અને પાંચ સદસ્યો કોંગ્રેસના છે. જેમાં બજેટ અંગેની બેઠકમાં ભાજપાના 22 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા છ સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના નેતાએ બજેટને આંકડાકીય બજેટ ગણાવ્યુ છે અને બજેટમાં કરવામાં બતાવવામાં આવેલ ખર્ચમાં વિસંગતતા હોય ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂક્યો છે. પરંતુ ભાજપની સંપૂર્ણ બહુમતી હોય કોંગ્રેસનો વિરોધ બહુ ટકી શક્યો નહીં .સાવરકુંડલા નગરપાલિકા સેન્ટ્રલ હોલ ખાતે આ સત્તા પક્ષની છેલ્લી જનરલ સભા યોજાઇ હતી. જેમાં આ બજેટ પસાર કરવામાં આવ્યું હતું. ₹182 કરોડનું આ અંદાજપત્ર ચર્ચા બાદ 22 વિરુદ્ધ 7 મતે મંજુર કરવામાં આવ્યું. કોંગ્રેસનો વિરોધ હોવા છતાં પણ વિનાવિઘ્ને બજેટ પસાર થયું હતું. શહેરમાં કરવામાં આવેલા વિકાસકામોનો ઉલ્લેખ પણ પાલીકા પ્રમુખે રજૂ કર્યો હતો.પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ અઢી વર્ષ સુધીમાં મળેલા સહકાર બદલ દરેકનો આભાર માન્યો. . તસવીર સૌરભ દોશી ભાજપના બે સભ્યોએ પણ વિરોધ કર્યો કોંગ્રેસના ઉપસ્થિત સદસ્યોમાં નાસીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, અમીનાબેન બાવનકા, રાજે ભાઈ ચૌહાણ અને જયશ્રીબેન ભરાડ હતા. ભાજપના સભ્યો ફરીદાબેન શેખ અને ડી. કે. પટેલે બજેટના વિરુદ્ધમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો.બજેટમાં કોંગ્રેસના પાંચ અને બે ભાજપના એમ સાત સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ચાલકોએ લાંબી લાઈન લગાવતા અમરેલીના મોટાભાગના પંપમાં ડિઝલનો જથ્થો પૂર્ણ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરના કારણે આગામી દિવસોમાં ઈંધણની તંગી સર્જાશે તેવી અફવાએ અમરેલી જિલ્લામાં ભારે દોડધામ મચાવી દીધી હતી. આ અફવાને પગલે ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે કેટલાક પંપોમાં ડીઝલનો જથ્થો ખુટી ગયો હતો. ગઈકાલે રાત્રિના સમયે અચાનક એવી વાતો વહેતી થઈ હતી કે યુદ્ધના કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ મળતા બંધ થઈ જશે. આ અફવાએ જોર પકડતા જ અમરેલી શહેર સહિત હાઈવે પરના તમામ પેટ્રોલ પંપો પર લોકો ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. જે સ્ટોક સામાન્ય રીતે બે થી ત્રણ દિવસ ચાલતો હોય છે. તે ગભરાટમાં આવેલા લોકોના ઘસારાને કારણે માત્ર ચાર કલાકમાં જ ખાલી થઈ ગયો હતો. ડીઝલનો સ્ટોક પૂરો થઈ જતાં શહેર અને હાઈવેના મોટાભાગના પંપો પર ડીઝલ નથી ના બોર્ડ લાગી ગયા હતા. ડીઝલની કોઈ અછત નથી. આ માત્ર અફવાના કારણે સર્જાયેલી કૃત્રિમ અછત હતી. લોકોએ ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ જથ્થો એકસાથે ખરીદવાનો પ્રયાસ કરતા વ્યવસ્થા પર ભારણ વધ્યું હતું. જો કે આ સ્થિતિ ગઈ કાલે જ જોવા મળી હતી. આજે અમરેલીના એકેય પંપ પર મોટી લાઇનો ન હતી. પણ ગઈકાલે જ ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હોય આજે નવા ટેન્કર આવે ત્યાં સુધી પંપ પર ડીઝલ મળતું ન હતું. જ્યાં ડીઝલનો થોડો જથ્થો પડ્યો હતો તે શહેરના એક પંપ પર તો ગ્રાહક દીઠ માત્ર પાંચ લિટર ડીઝલ જ આપવામાં આવતું હતું. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઈધણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સુવિધા:સૌની યોજનાના પાણી મોણપુર અને ધારી પાસેના છતડીયા સુધી પહોંચ્યા

અમરેલીના મોણપુર મુકામે જિલ્લા પ્રભારી અને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સૌની યોજના લિંક-5 પેકેજ-5 હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં 27.84 લાખના ખર્ચે સ્કાવર વાલ્વ અને પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સુવિધા મારફત મોણપુર ગામનાં તળાવમાં અંદાજે છે''ક 350 કિ.મી દૂરથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. સ્કાવર વાલ્વનુ લોકાર્પણ થતા પીવાના પાણી અને ખેતીવાડી સિંચાઈના ઉપયોગ માટે પાણીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, હવે પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે,મોણપુર મુકામે છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા હતી. વારંવાર રજૂઆતના અંતે અહીં સ્કાવર વાલ્વ મૂકવામાં આવતા અહીંની ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતોને લાભ થશે. ચિત્તલ મુકામે ''જલ જીવન મિશન'' હેઠળ 2.33 કરોડના ખર્ચે ''નલ સે જલ'' યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અંદાજે 218 ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ફરિયાદ:સાવરકુંડલામાં બળાત્કારના કેસમાં સમાધાન કરવા દબાણ કરી ધમકી

સાવરકુંડલામાં રહેતા એક વ્યક્તિને જૂના કેસમાં સમાધાન કરી લેવા માટે ધમકાવવાના મામલે પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીંના એક યુવકના ભાભીએ વર્ષ 2024માં ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રાજુ ઉર્ફે રાજેશભાઇ બંસીદાસ હરીયાણી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં કાર્યરત છે. આ કેસમાં સમાધાન કરાવવાના ઈરાદે રાજુ ઉર્ફે રાજેશભાઇ, કેતનભાઇ બંસીદાસ હરીયાણી અને ધર્મેશભાઇ બંસીદાસ હરીયાણીએ અન્ય શખ્સોને ઉશ્કેરણી કરી હતી. ગત તારીખ 20/2 ના રોજ સાંજના આશરે 5:00 વાગ્યે, રાજુ અને તેના ભાઈઓની ચડામણીથી જયરાજભાઇ મોટીયાર તથા એક અજાણ્યો માણસ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓને ધમકાવી જો તમે સમાધાન નહીં કરો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા‎ લેવાઈ:બેઝિક ગણિત, સમાજશાસ્ત્ર અને અંગ્રેજીના પેપરમાં ગેરરીતિ નહિ

નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ધોરણ-10માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના છાત્રોનું શુક્રવારના રોજ બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હતું. એસએસ.સીની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ગણિત વિષયમાં નોંધાયેલા કુલ 7693 વિદ્યાર્થીઓ પૈકી 7503 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 190 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહ સામાજશાસ્ત્ર વિષયમાં નોંધાયેલા કુલ 4230 પૈકી 4177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 53 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી વિષયમાં નોંધાયેલા કુલ 797 વિદ્યાર્થીઓ પૈકી 792 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 5વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. સવારે લેવાયેલી ધોરણ-10 અને બપોરે લેવાયેલી ધોરણ-12ની પરીક્ષામાં ગેરરિતીનો એક પણ કેસ નોંધાયો ન હતો.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

યુનિટી આર્ટ‎વર્કનું આયોજન કરાયું:કેવડિયામાં દેશભરના 18 ચિત્રકારોનું કલા નિદર્શન

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. ટેન્ટસીટી ખાતે પ્રથમ વખત યુનિટી આર્ટ વર્કનું આયોજન થતાં તેમાં વિવિધ રાજયોના 18 ચિત્રકારોએ ભાગ લઇ તેમની કલાનું નિર્દશન કર્યું હતું. ચિત્રકળા સાથે વર્ષોથી સંકળાયેલાં ચિત્રકારોની કલાને રજૂ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે કેવડિયામાં આર્ટ વર્કનું આયોજન કરાયું હતું. ચિત્રકળાને બહોળી પ્રસિદ્ધિ કેવી રીતે આપી શકાય તેની જાણકારી આપવામાં આવી છે. ચિત્રકામ માટે વિષયોની પસંદગી કેવી રીતે કરવી તેની માહિતી પણ ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ તરફથી આપવામાં આવી હતી. દોરેલાં ચિત્રને વધુ સારુ કેવી રીતે બનાવી શકાય અને તેના માટે શું કાળજી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ભાગ લઇ રહેલાં ચિત્રકારોએ અલગ અલગ વિષયોને સાંકળતા ચિત્રો રજૂ કર્યા હતાં. ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટરના રવિન્દ્ર મરડિયાએ જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાંથી 18 જેટલા કલાકારો તાલીમમાં ભાગ લઇ રહયાં છે. ત્રણ આર્ટ ક્રિટિક્સ પ્રયાગ શુક્લ જોની એમ એલ, અશોક ભૌમિકે ખાસ હાજર રહીને તાલીમ આપી હતી. જમ્મુ કાશ્મીરથી આવેલા કમલેશકુમારી ગાંધીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ચિત્ર બનાવ્યું છે જેમાં ત્યારે એમાં પહાડોની વચ્ચે છે સુંદર દૃશ્ય છે. આ ચિત્ર બનાવવાનું મારૂ કોઇ આયોજન ન હતું પણ પ્રકૃતિની પ્રેરણાથી આ ચિત્ર દોરવાની મજા આવી ગઇ છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ખાડાને લીધે અકસ્માત સર્જાયો:ને.હા.56 પર ખાડાથી 2 બાઈક અથડાતા 2 યુવકને ગંભીર ઇજા

કપરાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે–56 પર પડેલા ખાડાઓ વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. ગુરુવારે સાંજે નાનીવહીયાળ ગામના સડક ફળિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આર–15 બાઈક નં GJ 16 CR 8500 અને સ્પ્લેન્ડર બાઈક નં GJ 15 AJ 2114 રસ્તામાં પડેલા ખાડાથી સામસામે અથડામણ થઈ હતી.જેમાં બંને બાઈક ચાલકો રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ 108ને બોલાવી બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે–56 પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા હોય વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ છે. બનાવ અંગે નાનીવહીયાળના માજી સરપંચ દિલીપ પટેલે પોલીસ અને હાઇવે ઓથોરિટીને જાણ કરી રસ્તાની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવા સાથે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવાનું કામ શરૂ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

MLA જીતુ ચૌધરીના હસ્તે બ્રિજનું લોકાર્પણ‎ કરાયું:મોટાપોંઢા ઓમ કચ્છ રાતા ખાડી પર બ્રિજ શરૂ 10 હજારથી વધુ વાહનચાલકોને ફાયદો થશે

નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામ નજીક ઓમકચ્છ રોડ પર આવેલી રાતા ખાડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ માઈનોર બ્રિજનું લોકાર્પણ કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માઈનોર બ્રિજની લંબાઈ આશરે 55 મીટર અને પહોળાઈ 10 મીટર છે, જ્યારે ડેકની ઊંચાઈ લગભગ 8 મીટર રાખવામાં આવી છે. બ્રિજ સાથે બંને બાજુ જરૂરી રિટેનિંગ વોલ તથા એપ્રોચ રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. મોટાપોંઢા ગામથી ઓમકચ્છ ફળીયા સુધીનો આ માર્ગ સ્થાનિક સ્તરે અત્યંત મહત્વનો ગણાય છે, કારણ કે તે સેલવાસ સાથે જોડાયેલ હોય ગામના મુખ્ય કેન્દ્રને રહેણાંક વિસ્તાર સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ બ્રિજ બનવાથી ખેડૂતોને તેમના ખેતી ઉત્પાદનો મુખ્ય બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા અને ગ્રામજનોને આરોગ્ય કેન્દ્ર સહિત અન્ય સરકારી સેવાઓ સુધી પહોંચવામાં પણ સહેલાઈ મળશે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રોડ, પાણી, શિક્ષણ અને ખેતી જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપીને વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ ચોમાસામાં રાતા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા વાહનવ્યવહાર ખોરવાઈ જતો હતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી સહેવી પડતી હતી. હવે આ બ્રિજથી સમસ્યાનો અંત આવ્યો છે. આ બ્રિજથી ગુજરાતના સેલવાસની કંપનીઓમાં કામ કરવા જતા અંદાજે 10 હજારથી વધુ લોકોને આવન-જાવનમાં સુવિધા મળશે. સરપંચ રણજીત પટેલ સહિત ગ્રામજનોએ આ બ્રિજના નિર્માણથી વર્ષો જૂની મુશ્કેલી દૂર થઈ હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

MLAની હાજરીમાં કરાયું લોકાર્પણ:ધરમપુર ખાંડામાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

ધરમપુરના ખાંડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ અને જિ.પં. પ્રમુખ મનહરભાઇ પટેલના હસ્તે કરાયું હતું. વલસાડ જી. ભાજપ મહામંત્રી ગણેશભાઇ બીરારી, જિ. પં. સભ્ય કાકડભાઇ ગાવીત, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. દિવ્યા સોલંકી, મેડિકલ ઓફિસર ખાંડા ડો. ભાવિન ચૌધરી ઉપસ્થિત હતાં. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. પૂર્વીબેન પટેલે સંસ્થાની કામગીરી અને વસંત ઋતુમાં કફના શમન માટે ધાણી-ચણા જેવા આહારના મહત્વ વિશે જાણકારી આપી હતી. આરોગ્ય મંદિરમાં ડાયાબિટીસ, સ્ત્રી રોગ અને બ્લડપ્રેશર જેવી વિવિધ બીમારીઓની આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે. ધારાસભ્ય અરવિંદભાઇએ દિનચર્યા અને ઋતુચર્યાના પાલન દ્વારા કુદરતી રીતે સ્વસ્થ રહેવા ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં યોગ નિદર્શન, ઔષધીય વનસ્પતિ અને વાનગી પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, સંચાલન ડો. દિવ્યા સોલંકી તથા આભાર વિધિ ડો. ભાવિન ચૌધરીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું:સેલવાસમાં જિલ્લા કક્ષાના ખેલ મહોત્સવની ઉજવણી

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સેલવાસના સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયત CEO અરુણ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટિત આ સ્પર્ધામાં શાળા અને ઝોન કક્ષાના વિજેતા એવા 2000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં કૌશલ્ય દાખવનાર વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જીલ્લા પંચાયત સીઈઓ અરુણ ગુપ્તા, ઉપપ્રમુખ વિનયભાઈ ગિભલ, શિક્ષણ વિભાગના અધિકારી પરિતોષભાઈ ભટ્ટ, જયેશભાઇ ભંડારી, બલવંત પાટીલ, ગૌરાંગ વોરા,શાળાના આચાર્ય, શિક્ષક સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સ્વદેશી મેળામાં 30 જેટલા સ્ટોલ ઊભા કરાયા:ઉમરગામના દરિયા કિનારે છ‎ દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ‎

ઉમરગામ પાલિકા દ્વારા દરિયા કિનારે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ છ દિવસીય મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પાલિકા પ્રમુખ મનીષ રાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન આપી રોજગારીની તકો પૂરી પાડવાનો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળામાં અંદાજે 30 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક લઘુ ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

વીડિયો થયો વાયરલ:વાપીમાં જીવના જોખમે કારના બોનેટ પર બેસી-લટકીને બાળકોની સવારી

વાપી સેલવાસ રોડ પર એક કારના બોનેટ ઉપર બેસીને અને લટકીને ચારથી પાંચ બાળકો સવારી કરી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જીવના જોખમે તેઓ સવારી કરતા નજરે ચઢી રહ્યા છે. ચાલુ ગાડીએ પાછળ ચાલી રહેલા એક કારચાલકે આ વીડિયો ઉતાર્યો છે. જાહેર માર્ગ પર આ રીતે સ્ટંટ કરતા અને બાળકોના જીવને જોખમમાં મૂકનારા કાર ચાલક સામે કડક પગલાં લેવા લોકો માગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

2 બાળકીઓ લિફ્ટમાં ફસાઈ:વલસાડ શહેરના સરદાર હાઇટ્સમાં 2 બાળકી ફસાઇ

વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સમાં ત્રીજા માળે સરસ્વતિ વિંગ ખાતે એક લિફ્ટમાં 2 બાળકી લિફ્ટમાં ફસાઇ ગઇ હતી.રહીશોએ તાત્કાલિક દોડી આવી લિફ્ટમાંથી બાળાઓને બહાર કાઢી હતી. વલસાડના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સના સરસ્વતિ બિલ્ડિંગમાં ત્રીજા માળેએક લિફ્ટમાં ખામી સર્જાતાં બે બાળા અંદર ફસાઇ ગઇ હતી.બહારના દરવાજો નહિ ખુલતાં બા‌ળાઓ ગભરાઇ ગઇ હતી.પરંતું રહીશો દોડી આવી બાળકીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી.આ બાળાઓ લિફ્ટમાં જતી હતી પણ દરવાજો નહિ ખુલતાં બુમાબુમ થઇ હતી. રહીશોએ દોડી આવી બાળાઓનું રેસ્ક્યુ કરી લેતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.બે દિવસ અગાઉ પણ એક વૃધ્ધ લિફ્ટમાં ફસાઇ ગયા હોવાનો બનાવ બન્યા બાદ આ બીજી ઘટના સામે આવતા રહીશોમાં લિફ્ટ નિભાવ કરતી કંપની સામે રોષ વ્યાપી ગયો હતો.દરમિયાન સોસાયટીના હોદ્દેદારોની બેઠક માં આ મામલે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

જોખમી સવારી:સોનગઢ-વ્યારા હાઇવે પર દંપતી , બે બાળક સહિત ઘરવખરી સાથે બાઇક પર નીકળેલી જોખમી સવારી

સોનગઢ-વ્યારા હાઇવે પર હોળીના પર્વે વતન જતી વખતે એક શ્રમિક પરિવારની અત્યંત જોખમી સવારી જોવા મળી હતી. બાઇક પર દંપતી અને બે બાળકો સહિત ઘરવખરીનો સામાન એવી રીતે લાદવામાં આવ્યો હતો કે વાહનનું સંતુલન જાળવવું પણ મુશ્કેલ જણાય. સીટ પર ગાદલાં-ચાદર બિછાવી નાના બાળકોને બેસાડયા હતા,જ્યારે આસપાસ 8-10 થેલા લટકતા હતા.આવી બેદરકારીભરી મુસાફરી ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી શકે છે. દંપતીએ સમજવું જોઈએ કે જીવ હશે તો જ તહેવાર ઉજવી શકાશે. ટુ-વ્હીલર પર ક્ષમતા કરતા વધુ સામાન કે વ્યક્તિઓને બેસાડવા એ આત્મઘાતી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

કુહાડીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાયો:મજીગામમાં ઉછીના આપેલા નાણા માંગતા મહિલા પર કુહાડીથી હુમલો

ચીખલી નજીકના મજીગામમાં પૈસાની લેતીદેતીમાં ચીમલાની મહિલાને માથામાં કુહાડીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાયો હતો. જેને પગલે ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને ચીખલીમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર સુરત ખસેડાઇ હતી. ચીખલી તાલુકાના ચીમલાના ઉગમણા ફળિયામાં રહેતા અને ફરિયાદી હિતેશ ઇશ્વરભાઇ પટેલની પત્ની ગતરોજ સાંજના સમયે મલિયાધરા ગામે પિયર જવા નીકળી હતી. તેમણે પત્નીને મજીગામના છાપરા ફળિયા રહેતા દૃષ્ટીક ઉર્ફે જીમીને આપેલ ઉછીના રૂ. 16 હજાર લઈ આવવા જણાવ્યું હતું, જે મુજબ પ્રિયંકાબેન આ ઉછીના રૂપિયા લેવા માટે રાત્રે 8 વાગ્યાના અરસામાં મજીગામ ગયા હતા. જ્યાં જીમીએ તેને ગાળો આપી તેના ઘરેથી નીકળી જવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેમ છતાં પ્રિયંકાબેને ફરી વખત ઉછીના નીકળતા રૂપિયા માંગતા જીમી ઉશ્કેરાઇ જઈ ઘરમાંથી કુહાડી લાવી જાનથી મારી નાંખવાના ઇરાદે કુહાડીથી માથામાં ભાગે જીવલેણ ઘા મારતા લોહીલુહાણ થઈ ઢળી પડી હતી. ગંભીર ઇજાગ્રસ્ત પ્રિયંકાબેનને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે આ બનાવમાં દૃષ્ટીક ઉર્ફે જીમી મંગુભાઇ પટેલ (રહે.મજીગામ, છાપરા ફળિયા, તા.ચીખલી) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બનાવની તપાસ પીઆઇ ડી.એસ.કોરાટે હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહત:જૂજ ગામે 27 ફેબ્રુઆરીએ ગોઠવેલા પાંજરામાં 6 માર્ચે દીપડો પુરાયો

ભાસ્કર ન્યૂઝ । વાંસદા વાંસદા તાલુકાના વાંસદા પૂર્વ રેન્જના વાંસદા રાઉન્ડના જૂજ ગામે દીપડો આંટાફેરા મારતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર જાણ કરતા વન વિભાગ હરકતમાં આવી તાત્કાલિક પાંજરું મૂક્યું હતું. આ પાંજરામાં દીપડો પુરાતા વન વિભાગ અને લોકોને રાહત થઇ છે. વાંસદાના જૂજ ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના સરપંચ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ આ બાબતે ટેલિફોનિક જાણ વાંસદા પૂર્વ રેંજ કચેરીએ કરી હતી. જેને પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રાઉન્ડ ફોરેસ્ટર તથા વન વિભાગના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જૂજ ગામે રહેતા પંકજભાઈ પટેલના ઘરની બાજુમાં તેમજ તેમના ખેતરમાં આવેલા મરઘા ફાર્મ પાસે દીપડાની હલચલ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના સતત પ્રયાસો બાદ 6 માર્ચના રોજ વહેલી સવારે 6.30 કલાકે 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. પકડાયેલા દીપડાને હાલ વન ચેતના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. દીપડાના સ્વાસ્થ્યની તપાસ વાંસદા વેટરનરી ઓફિસરે કરી હતી. આ કાર્યવાહી વલસાડ ઉત્તર નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા વાંસદા મદદનીશ વન સંરક્ષક જે.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઇ હતી. દીપડો પાંજરે પુરાતા જૂજ ગામ સહિત આસપાસના ગ્રામજનોને રાહત થઇ હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

કામગીરીમાં કરાયેલી વેઠનું પરિણામ:ડુંગરાળ વિસ્તારમાં ગટર કામ વગર બનાવી દેવાતા રસ્તો ધોવાયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વાંસદાના કણધા ગામે ખોરા ફળિયાનો જિ.પં. માર્ગ મકાન હસ્તકનો રસ્તો માત્ર બે વર્ષમાં ધોવાઇ ગયો છે. વાંસદા તાલુકાના કણધા ગામના ખોરા ફળિયામાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વાંસદા હસ્તકનો રસ્તો વર્ષ-2022/23માં વલસાડની એજન્સી દ્વારા બનાવ્યો હતો. અંદાજે 52.50 લાખના ખર્ચે કણધા મુખ્ય રસ્તાથી ખોરીપાડા થઈ ખોરા ફળિયાને જોડતો રસ્તો બનાવામાં એજન્સી દ્વારા વેઠ ઉતારાઇ છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં હોવા છતાં રસ્તાની બાજુએ ગટરની વ્યવસ્થા કરવા વગર ડામર રસ્તો બનાવી દીધો હતો. જોકે ડામર રસ્તો બનાવ્યો જેમાં અમુક જગ્યાએ ગરનાળાઓ નાંખ્યા એ કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારાઇ હોય એવું સ્થળ પર જોતા પ્રતીત થઈ રહ્યું છે. દરેક જગ્યાએ રસ્તાની ધારે રેલિંગનો અભાવ જોવા મળી રહ્યો હોય તેમજ બે વર્ષમાં આ રસ્તાની ધાર તૂટી ગઇ છે તેમજ અનેક જગ્યાએ સાઈડ સોલ્ડરિંગની કામગીરી પણ નહિવત દેખાઈ રહી છે. હાલ આ રસ્તાને લઇ યોગ્ય નિરાકરણ થશે કે કેમ એ દિશામાં અહીંની પ્રજા મીટ માંડીને બેસી છે. આડેધડ કામગીરી કરવામાં આવી રસ્તો બે વર્ષ પહેલાં બન્યો હતો. રસ્તાની બાજુમાં ગટર ન બનાવી જેને લઈ ડુંગરા પરથી આવતા પાણીને લઈ રસ્તો ધોવાઈ ગયો છે. કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી હતી. રોડની ધારે એક પણ જગ્યાએ રેલિંગ પણ નથી તેમજ ગરનાળા પણ નાના અને ફાવે તેમ નાંખવામાં આવ્યા છે. > રાવિન્દ્રભાઈ ધનજીભાઈ, સ્થાનિક, કણધા

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સફળતાની કહાણી:મૂળ નવસારી જિલ્લાના નાંદરખાના મિહિર પટેલે UPSCમાં ઓલ ઇન્ડિયા 709મો રેન્ક હાંસલ કર્યો

સંકલ્પ જો મક્કમ હોય અને મહેનત જો સાચી દિશાની હોય, તો સફળતા કદમ ચૂમે છે. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે મૂળ નવસારીના અને હાલ સુરતમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા મિહિર પટેલે. તાજેતરમાં જાહેર થયેલા UPSC સિવિલ સર્વિસ-2025ના પરિણામમાં મિહિરે ઓલ ઇન્ડિયા 709મો રેન્ક હાંસલ કરી સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. મિહિર પટેલની આ સફળતા રાતોરાત મળેલી સિદ્ધિ નથી, પણ વર્ષોની તપસ્યાનું પરિણામ છે. 2020માં બી.ઇ. (IT) પૂર્ણ કર્યા બાદ તરત જ અમદાવાદ સ્પીપામાં યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પાંચમાં પ્રયાસે મળેલી આ સફળતા પહેલા તેમણે અનેક ઉતાર-ચઢાવ જોયા અને 3 વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ પણ અંતિમ સફળતા ન મળવા છતાં તેમણે હાર ન માની. પિતા સ્વ.રાજેન્દ્રભાઈનું સપનું અને માતા (જેઓ પોતે શિક્ષિકા છે)ના સતત પ્રોત્સાહને મિહિરને લક્ષ્ય તરફ ગતિશીલ રાખ્યો અને સફળતા અપાવી હતી. આ સાથે જ નવા ઉમેદવારો અને યુવાનો માટે મિહિરે સફળતાના ત્રણ સ્તંભો ગણાવ્યા છે. જેમાં દૈનિક, સાપ્તાહિક અને માસિક આયોજન સાથેનું વાંચન, નિષ્ફળતાના સમયે મનને મક્કમ રાખવા માટે પોઝિટિવિટી, એક એવું ગ્રુપ જે તમને સતત શ્રેષ્ઠ કરવા માટે પ્રેરણા આપે છે. હાલ ઉધનામાં સબ રજિસ્ટ્રાર (ગ્રેડ-1, વર્ગ-3) તરીકે કાર્યરત મિહિર પટેલની આ ઝળહળતી સિદ્ધિ બદલ ડો. દિવ્યેશ પટેલ (મદદનીશ નોંધણીસર નિરીક્ષક) અને સમગ્ર નોંધણી પરિવાર તથા મિત્રવર્તુળ દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા છે. ગણદેવીના નાંદરખા ગામનો આ યુવાન હવે દેશના વહીવટી માળખામાં પોતાની સેવા આપી ગૌરવ વધારશે. ભીડથી અલગ પાડશેમેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનીયરીંગ આઇટી ફિલ્ડ સાથે વિશ્વ કર્મા ગર્વમેન્ટ કોલેજમાંથી કર્યુ છે. ત્યારબાદ 2020થી યુપીએસસીની તૈયારી કરૂ છું. બાળપણથી જ મારા પિતાએ સમાચાર પત્ર વાંચવાની ટેવ પાડી હતી અને તેમનું સ્વપ્ન હતું કે હું સારો સરકારી અધિકારી બનું. સમાચાર પત્ર વાંચતો ત્યારે તેમાં આવતા કલેકટર અને એસપી જેવા અધિકારીઓની સ્ટોરીઓ વાંચતો અને તેનાથી મને પ્રેરણા મળતી. આ કારણે જ હું પ્રેરિત થઇને સિવિલ સેવા તરફ પ્રેરાયો. 2020 માં SPIPA માં એડમિશન મળ્યું અને સતત પાંચ વર્ષથી હું યુપીએસસીની ટ્રાય કરતો હતો. આ મારો પાંચમો એટેમ્પ છે. યુપીએસસીની તૈયારી કરતા મિત્રોને એટલું જ કહીશ કે પરિણામલક્ષી નહીં, પણ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરો. સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન જ તમને ભીડથી અલગ પાડશે. > મિહિર પટેલ (AIR 709)

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

‘ગુંજ–2026’નું ‎‎સફળ આયોજન:અબ્રામા GIDC એન્જિ. કોલેજમાં નૃત્ય, ગાયન અને નાટકથી ‘ગુંજ-2026’ મહોત્સવ ગુંજી ઉઠ્યો

નવસારીના અબ્રામા સ્થિત જીઆઇડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં વાર્ષિક મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ગુંજ–2026’નું સફળ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભુરાલાલ શાહ અને દેવરાજ લાડુમોર તેમજ સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખડિયા અને રોહિતભાઈ ગામી ઉપસ્થિત રહ્યાં હતા. મહેમાનોના પ્રેરણાદાયક સંબોધનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને નવી પ્રેરણા સર્જાઇ હતી. ઉપરાંત સંસ્થાના ચેરપર્સન પ્રવિણા ડી.કે. (IAS) અને સેક્રેટરી આર.પી.પટેલે શુભાશિષો પાઠવી વિદ્યાર્થીઓને વધુ ઉત્તમ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્ય પ્રો. ડો. એચ.એસ.પાટીલ દ્વારા સંસ્થાએ વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલી વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓ તથા સમગ્ર શૈક્ષણિક વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ગાયન, નાટ્ય તેમજ વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે મહોત્સવ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતા તેમજ યુનિ.ના શૈક્ષણિક પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ડો. એસ.એસ. પટેલ, ડો. ડી.સી. પટેલ, ડો. અર્ચના નાયક અને પ્રો. તોરલ પટેલ દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

જાહેરનામાને મળ્યો નકારાકત્મક લોકપ્રતિસાદ:વિરાવળ પુલ ભારે વાહનોના પ્રતિબંધથી એસટીના મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો

વિરાવળ બ્રિજ ‘પુવર’કંડીશનમાં માલુમ જણાતા બ્રિજ ભારે વાહનો,એસ.ટી.બસ તેમજ અન્ય તમામ હેવી વાહનો માટે ચોથી વખત 29 એપ્રિલ સુધી બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ડીઝાઇન સર્કલ પાસે આ પુલ પુનઃ મોજણી તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે. આ દરખાસ્ત અન્વયે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ નવસારીથી પોલીસ અધિક્ષક નવસારી દ્વારા પણ આ જાહેરનામુ બહાર પાડવા માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. જેના અનુસંધાને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. હાલ કા.ઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચ દ્વારા આ જાહેરનામાની મુદત વધારી આપવા દરખાસ્ત કરી હતી. નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગીરાજસિંહ બી.ઝાલાને મળેલ સત્તાની રુએ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર ભારે કોમર્શિયલ વાહનોના અવર જવર ઉપર 1 માર્ચથી 29 એપ્રિલ સુધી અમલમાં મૂકી છે. આ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નવસારી તથા જીલ્લા પોલીસવડા નવસારી ખાલી અભિપ્રાય આપવાના બદલે પોતાની નિષ્ણાત ટીમ બનાવીને અભિપ્રાય આપે તે જરૂરી છે તેવી મુસાફરજનતાની માંગ છે. એસ.ટી.ના મુસાફરો 8 માસથી વધુ ભાડા વધુ સમય ખર્ચી આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે પુલ પરથી તમામ એસ.ટી.બસ દોડાવામાં આવે અને એસ.ટી.સિવાયના 10 ટનથી વધુ ભારે વાહનો પ્રતિબંધિત કરાય તે પ્રમાણેનું સુધારેલું જાહેરનામુ બહાર પાડવું જોઈએ. જેથી એસ.ટી.નું ડીઝલ લોકોના નાણા તથા સમયની બચત થશે. જો નબળો જાહેર કરવામાં આવ્યો છે તો તેની નબળાઈ હોય તો તેને દુર કરવા માટે ભરૂચ વિભાગ આજ દિન સુધી નિષ્ક્રિય કેમ છે ?

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:નવસારીમાં શુક્રવારે બોર્ડની પરીક્ષામાં પેપરો સરળ નીકળતા છાત્રોમાં ખુશી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડ પરીક્ષામાં શુક્રવારના રોજ ધો.10માં બેઝીક ગણિત, ધો. 12 સાયન્સમાં અંગ્રેજી અને સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રના પેપરો પ્રમાણમાં સરળ નીકળતા પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા છાત્રોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પડકાર ગણાતું બેઝિક ગણિતનું પેપર આ વર્ષે ધારણા કરતા ઘણું સરળ રહ્યું હતું. નવસારી જિલ્લામાં આ વિષય માટે કુલ 16,571 છાત્રો નોંધાયા હતા, જેમાંથી 16,111 છાત્રોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી, જ્યારે 460 છાત્રો ગેરહાજર રહ્યા હતા. પેપર સહેલું હોવાને કારણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ચિંતાતુર વાલીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)નું પેપર સરળ રહેતા છાત્રોએ રાહત અનુભવી હતી. અહીં નોંધાયેલા 3,628માંથી 3,624 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માત્ર 8 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રનું પેપર થોડું લાંબુ હતું પરંતુ પ્રશ્નો સરળ હોવાથી તેઓ સમયસર પેપર પૂર્ણ કરી શક્યા હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:ધો.12 વિ.પ્ર.ના અંગ્રેજીમાં પાંચ એમસીક્યુ પ્રશ્નો અઘરા પૂછાયા

ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓ હરખાયા હતા. ગત વર્ષ કરતાં આ વર્ષે પાસિંગ અને સ્કોરિંગ રેશિયો વધશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં 5 એમસીક્યુ પ્રશ્નો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. જોકે, આ 5 એમસીક્યુને બાદ કરતાં એકંદરે અંગ્રેજીનું પેપર પણ સરળ હોવાનો મત પરીક્ષાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. મહત્વના બંને પેપર પ્રમાણમાં સરળ રહેતાં છાત્રો હળવા જણાયા હતા. ભાસ્કર એક્સપર્ટઅંગ્રેજીના પેપરમાં પાર્ટ એમાં 50 માર્ક્સના એમસીક્યુમાં કેટલાક પ્રશ્નો અઘરા છે. આવા 5 થી 6 પ્રશ્નોને બાદ કરતાં પેપર સરળ હતું. પાર્ટ બી વર્ણનાત્મક લેખનના પ્રશ્નો પ્રમાણમાં ખૂબ સરળ છે. નિબંધ અને ઇ મેઇલ પણ સરળતાથી લખી શકાય તેવો છે.> યશભાઇ ચૌધરી, ધોરણ 12 અંગ્રેજી શિક્ષક બેઝિક ગણિતનું પેપર સરળ છેસમય મર્યાદામાં તમામ પ્રશ્નોના ઉત્તર લખી શકે તેવા દાખલા પૂછાયા છે.> અશ્વીનભાઇ પટેલ, ધોરણ 10 ગણિત શિક્ષક

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

સરહદી સુરક્ષા વધુ મજબૂત:બ.કાં.ની નવી રેન્જ બની, પહેલા આઇજી તરીકે પરિક્ષિતા રાઠોડ

ગુજરાતના પોલીસ વિભાગે બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આઇ.જી. રેન્જના અધિકારીની પોસ્ટ આપી છે. જ્યાં પ્રથમ આઇ.જી. અધિકારી તરીકે ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમમાં આઇ.જી.પી. તરીકે ફરજ બજાવતાં IPS અધિકારી પરિક્ષિતા વી. રાઠોડની નિમણૂંક કરી છે. બનાસકાંઠા, વાવ - થરાદ જિલ્લાના 31, પાટણના 14 પોલીસ મથકો હવે 320 કિલોમીટર દૂર ભૂજને બદલે 100 કિલોમીરટની અંદર પાલનપુર રિપોર્ટ કરશે. આર.કે. પટેલ (નિવૃત Dysp. બનાસકાંઠા)એ જણાવ્યું કે, ભૂજ રેન્જ આઇ.જી. અધિકારી પાસે બનાસકાંઠા, પાટણ, કચ્છ પૂર્વ (ગાંધીધામ), કચ્છ પશ્વિમ (ભુજ) ચાર જિલ્લા હતા. પાકિસ્તાન સરહદ અને રાજસ્થાન સાથે જોડાયેલી આંતરરાજ્ય સરહદ પર જ્યારે કોઈ મોટી ગુનાખોરી કે ઘૂસણખોરીની ઘટના બને ત્યારે રેન્જ આઈજીનું લોકેશન દૂર હોવાથી સીધું મોનિટરિંગ કપરું બનતું હતું. હવે બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણ વચ્ચેનું અંતર માત્ર 100 કિમીમાં હોવાથી વહીવટી સંકલન ઝડપી થશે. ભાસ્કર ઇન્સાઇડ‎કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનશે‎ સરહદી સુરક્ષા અને ઘૂસણખોરી પર નિયંત્રણ‎બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ આંતરરાષ્ટ્રીય‎અને આંતરરાજ્ય સરહદ ધરાવે છે. અલગ રેન્જ‎આઈ.જી. હોવાથી રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર‎પરથી થતી ઘૂસણખોરી, હથિયારોની હેરાફેરી અને‎ડ્રગ્સ નેટવર્ક પર સીધું અને કડક મોનિટરિંગ વધશે.‎ આંતરરાજ્ય ગુનાખોરીમાં ઘટાડો‎રાજસ્થાન અને ગુજરાત વચ્ચેની સરહદનો લાભ‎લઈને ગુનેગારો ગુનો કરીને બીજા રાજ્યમાં નાસી‎જતા હોય છે. આઈ.જી. કક્ષાના અધિકારી સીધા‎પડોશી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન‎સાધી શકશે, જેનાથી દારૂની હેરાફેરી અને વાહન‎ચોરી જેવી આંતરરાજ્ય ગેંગને પકડવી સરળ બનશે.‎ કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા વધશે‎બનાસકાંઠા, વાવ- થરાદ અને પાટણ જિલ્લાના‎એસ.પી. ને ત્વરિત માર્ગદર્શન મળશે. ગંભીર‎ગુનાઓના સ્થળ પર આઈ.જી. પોતે જલ્દી પહોંચી‎શકશે. પોલીસ જવાનોની શિસ્ત અને હાજરી પર‎સીધી નજર રહેશે.‎ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ દેખરેખ‎નવી રેન્જ ઓફિસ બનવાથી આધુનિક સાયબર‎ક્રાઈમ લેબ અને ટેકનિકલ સર્વેલન્સ માટે અલગ‎બજેટ અને સ્ટાફ ફાળવવામાં આવે છે. આનાથી‎સોશિયલ મીડિયા પર થતી અફવાઓ અને‎ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે.‎

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 4:00 am

દેશ-વિદેશના ફૂલોની સુગંધ અમદાવાદને મહેકાવશે:શેલામાં 128 કરોડના ખર્ચે તૈયાર થશે 'લોટસ પાર્ક', ફ્લાવર મ્યુઝિયમથી લઈને મલ્ટીમીડિયા થિયેટર સુધીની સુવિધાઓ

અમદાવાદમાં સૌથી મોંઘો અને અલગ-અલગ રાજ્યોના ફૂલોવાળો કમળ આકાર ધરાવતો ગાર્ડન બનાવવામાં આવશે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન નજીક ધાતલા તલાવડીની જગ્યામાં 128 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. જેમાં ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. ચાલુ વર્ષે બજેટમાં તેના માટે 20 કરોડની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. દેશના તમામ રાજ્યોના ફૂલો આ પાર્કમાં જોવા મળશે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન શહેરમાં બનવા જઈ રહ્યો છે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમથી લઈને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કમળના આકારના બનવા જઈ રહેલા લોટસ પાર્કમાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે. 30 મીટરનો પ્રવેશદ્વાર હશે. પ્લોટના 40 ટકા ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે. બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે. બાજુના પ્લોટમાં 'ગ્લો ગાર્ડન' બનાવવાનું પણ આયોજન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટસ પાર્ક બન્યા બાદ તેમાં એન્ટ્રી ફી પણ રાખી શકે છે. ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશેવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશનાં તમામ રાજ્યોનાં ફુલો એક જ સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્ક ડેવલોપ થવાથી તમામ રાજ્યોનાં ફુલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજ વિસ્તારનું બ્યુટીફીકેશન વગેરે સુવિધાના કામો થશે. જેથી, શહેરની શોભામાં વધારો થશે તથા સદર લોટસ પાર્કનો લાભ સમગ્ર શહેરીજનોને થશે. લોટસ પાર્કને મંજૂરી આપવા માટે અધિકારીઓએ અમુક નિયમોનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈપણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવી હતી. વધુમાં, પેનલમાં સામેલ આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં આ કન્સલ્ટન્ટને તુલનાત્મક રીતે વધુ ફી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પૂરી થાય તે પહેલાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં ઝડપથી લોટસ પાર્ક પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે ઉતાવળમાં ટેન્ડર પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન અધિકારીઓએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરીને દરખાસ્ત મૂકી અને પ્રોજેક્ટને મંજૂર કરાવી લીધો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદેસર ડ્રેનેજ પણ કાયદેસર કરી શકાશે:ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનોને દંડ વગર કાયદેસર કરાવવા મિલકતદારોને 31 ડિસેમ્બર 2026 સુધીની  મુદત

સુરત શહેરના વિકાસ અને ડ્રેનેજ નેટવર્કની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરમાં જે મિલકતદારોએ અત્યાર સુધી ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શનો લીધા છે અથવા જેમણે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં ડ્રેનેજનું જોડાણ કરી દીધું છે, તેમને હવે દંડ વગર કાયદેસર થવાની એક તક આપવામાં આવી છે. આ યોજના હેઠળ મિલકતદારો આગામી 31 ડિસેમ્બર 2026 સુધીમાં પોતાના કનેક્શનો નિયમિત કરાવી શકશે. ત્રણ ગણા દંડમાંથી મુક્તિસામાન્ય રીતે સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન નીતિ મુજબ, જો કોઈ મિલકતનું ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર માલૂમ પડે, તો મિલકતદાર પાસેથી નિર્ધારિત ચાર્જ કરતા ત્રણ ગણો ચાર્જ વસૂલવાની જોગવાઈ છે. જોકે, નવી દરખાસ્તમાં નાગરિકોને આ આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. જે મિલકતદારો 31 ડિસેમ્બર 2025 સુધીમાં પાલિકાના આકારણી દફતરે નોંધાયેલા છે, તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં સ્વયંભૂ જાહેરાત કરીને માત્ર બેઝિક રાહત દરે કનેક્શન મેળવી શકશે. આ માટે મિલકતદારોએ પાલિકાના જે-તે ઝોન વિભાગમાં સાદી અરજી કરવાની રહેશે. વિવિધ મિલકતો માટે નક્કી કરાયેલા નવા ચાર્જપાલિકાએ આ યોજના હેઠળ અલગ-અલગ કેટેગરીની મિલકતો માટે ખાસ રાહત દરો નક્કી કર્યા છે. વ્યાપારિક મિલકતો જેવી કે ટેક્સટાઈલ ફેક્ટરીઓ, લૂમ્સ, એમ્બ્રોઈડરી યુનિટ્સ અને નર્સરી માટે યુનિટ દીઠ 1948 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમોમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ તેમજ મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરીઓ માટે તેમના કાર્પેટ એરિયા મુજબ 2435 રૂપિયાથી લઈને 9744 રૂપિયા સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશનો અને મ્યુઝિયમ જેવી મિલકતો માટે 1000 ચોરસ મીટર સુધીના એરિયા માટે 5846 રૂપિયા નક્કી કરાયા છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે ધર્મશાળા, ચેરિટેબલ ટ્રસ્ટ, હોસ્પિટલ અને શાળાઓ જેવી બિન-નફાકારક સંસ્થાઓ માટે 4872 રૂપિયાનો રાહત દર રખાયો છે, જ્યારે મંદિરો, મસ્જિદો અને પૂજાના અન્ય સ્થળો માટે સૌથી ઓછો એટલે કે માત્ર 974 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે. ખોદાણ ચાર્જમાં માફી અને પાલિકાના ખર્ચે કામગીરીનાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકાએ આ દરખાસ્તમાં વધુ એક મોટી રાહત આપી છે. આ યોજના હેઠળ કનેક્શન લેનાર અરજદારો પાસેથી રસ્તા ખોદાણ કે રી-ઈન્સ્ટેટમેન્ટના કોઈપણ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં, અગાઉ જે-તે સમયે ગેરકાયદે જોડાણ કરતી વખતે જો રસ્તા ખોદાણના ચાર્જ વસૂલવાના બાકી હોય તો તે પણ પાછળની અસરથી માફ કરવામાં આવશે. ડ્રેનેજ લાઈન સાથે જોડાણ માટે જરૂર જણાયે સિમ્પલ ચેમ્બર કે મશીનહોલ બનાવવાની અને લાઈન નાખવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકા પોતાના ખર્ચે કરી આપશે. જોકે, સોસાયટીના આંતરિક માર્જિનમાંથી મુખ્ય રસ્તા સુધી કનેક્શન લાવવાની જવાબદારી અને ખર્ચ મિલકતદારે પોતે ભોગવવાનો રહેશે. ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશેશહેરના રહેણાંક એકમો માટે પણ આ દરખાસ્તમાં મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. પાલિકાના રેકોર્ડ મુજબ જે રહેણાંક મિલકતો પાસે કાયદેસર પાણીનું જોડાણ છે, તેમનું ડ્રેનેજ કનેક્શન તાંત્રિક રીતે કાયદેસર જ ગણાશે તેમછતાં, જો આવા રહેણાંક એકમોનું જોડાણ સ્ટોર્મ વોટર લાઈનમાં હોવાનું જણાશે, તો આ યોજના હેઠળ પાલિકા દ્વારા તેને ડ્રેનેજ લાઈનમાં જોડીને કાયદેસર કરી આપવામાં આવશે. જ્યાં હાલ મુખ્ય ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં પણ અરજીઓ સ્વીકારવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે લાઈન નંખાશે ત્યારે આ નીતિ મુજબ કનેક્શન આપવામાં આવશે. વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશેપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રેનેજ કનેક્શન નિયમિત થવાથી મિલકતનું અનધિકૃત બાંધકામ કે વસવાટ કાયદેસર ગણાશે નહીં, કે તેનાથી મિલકતના ટાઈટલ કે માલિકી હક્કમાં કોઈ ફેરફાર થશે નહીં. આ વિશેષ રાહત યોજના 31 ડિસેમ્બર 2026 સુધી જ અમલમાં રહેશે. ત્યારબાદ જો કોઈ ગેરકાયદે કનેક્શન ઝડપાશે, તો વર્ષ 2018 અને 2023 ના મૂળ ઠરાવો મુજબ 10% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ ગણો ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

ટાંકી સાફ કરવા જતા ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત:હોળીની રજામાં મિલ માલિકે સફાઈ માટે ઉતાર્યા, એકને બચાવવા જતાં બિહારના 3 યુવાનોએ જીવ ગુમાવ્યો

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં આવેલી પારસ ડાઈંગ મિલમાં હોળીની રજા દરમિયાન ટાંકી સફાઈની કામગીરી શ્રમિકો માટે કાળ સાબિત થઈ છે. પારસ મિલના પાણીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી ત્રણના ગૂંગળામણના કારણે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોળીની રજામાં સફાઈ કામગીરી બની જીવલેણમળતી માહિતી મુજબ, ધુળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં બે દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઈંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી, ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા. રજાના દિવસે જોખમી રીતે કરાવવામાં આવેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણમી હતી. એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ફસાયાઘટનાક્રમ મુજબ, સૌથી પહેલા સોનુ કુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો. ટાંકીના તળિયે કાદવ વાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ શ્રમિકો એકપછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા. બિહારના વતની એવા આશાસ્પદ યુવાનોના મોતઆ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં અંકિત કુમાર (19 વર્ષ), સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન (22 વર્ષ) નો સમાવેશ થાય છે. માત્ર 19-22 વર્ષની નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે અમરેન્દ્ર કુમાર (23 વર્ષ) હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ગૂંગળામણના કારણે પ્રાથમિક મોતનું કારણઘટના બાદ તરત જ ચારેય શ્રમિકોને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ શ્રમિકોએ દમ તોડી દીધો હતો. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે. પોલીસ તપાસ અને સુરક્ષાના સાધનો પર સવાલઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફ્ટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા કે નહીં. રજાના દિવસે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

'સુરતી પરિવારે ભગવાનની પૂજા કરીને 2 લાખ કેનાલમાં પધરાવ્યા!':એક ભૂલે ફાયર બ્રિગેડના જવાનોને 20 મિનિટ ધંધે લગાડ્યા, પાણીમાંથી નોટોના બંડલ શોધવામાં બે જવાન ઈજાગ્રસ્ત

સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે પૂજા-સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયરબ્રિગેડના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારે પૂજાની સામગ્રી સાથે 2 લાખ પણ પાણીમાં પધરાવી દીધા હતામળતી માહિતી અનુસાર પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પહોંચ્યા બાદ તિજોરી જોતા ખબર પડીઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના બે જવાન ઈજાગ્રસ્તફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લિંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી.જોકે, આ શોધખોળ દરમિયાન ફાયરબ્રિગેડના બે જવાનોને કાચ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Mar 2026 12:05 am

સુરત મહાનગરપાલિકાનો લોકહિત માટે મોટો નિર્ણય:ખાનગી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા અને ફ્રી ટ્રી ટ્રીમિંગ માટે સ્થાયી સમિતિનો નિર્ણય

સુરત શહેરને વધુ સ્માર્ટ, સુવિધાજનક અને પર્યાવરણલક્ષી બનાવવાની દિશામાં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે બે મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન બી. પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી બે અલગ-અલગ દરખાસ્તોને સમિતિની બેઠકમાં 'વધારાના કામ' તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સુરતની હજારો ખાનગી સોસાયટીઓમાં રહેતા લાખો નાગરિકોને સીધો ફાયદો થશે. ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓજો કોઈ ખાનગી સોસાયટીના મંજૂર લે-આઉટ પ્લાનમાં રસ્તો દર્શાવેલ ન હોય, પરંતુ તે ભાગનો વર્ષોથી એપ્રોચ રોડ તરીકે વપરાશ થતો હોય, તો તેને હવે 'આંતરિક રસ્તો' ગણી લેવામાં આવશે. આવા રસ્તાઓ પર જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ, પાણી અને રસ્તાની નવી સુવિધાઓ પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે. પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધાસોસાયટીમાંથી પસાર થતા ટી.પી. રોડ જે અગાઉ જોગવાઈમાં નહોતા, તેને હવે આંતરિક રસ્તા ગણીને ત્યાં સી.સી. રોડની સુવિધા આપવામાં આવશે. સોસાયટીના કોમન પ્લોટમાં પણ હવે પેવર બ્લોકની સુવિધા માળખાકીય સુવિધા તરીકે પાલિકા દ્વારા આપી શકાશે. ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિબીજી એક મહત્વની દરખાસ્તમાં પર્યાવરણના રક્ષણ સાથે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખાનગી સોસાયટીઓમાં મોટા વૃક્ષોનું કટીંગ કરવુ એ રહેવાસીઓ માટે મોંઘો અને મુશ્કેલ પ્રશ્ન હોય છે. સાધનોના અભાવે કે ઊંચા મજૂરી દરને કારણે વૃક્ષોનું યોગ્ય કટીંગ થતુ નથી, જેના પરિણામે વાવાઝોડા કે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાની અને અકસ્માતની ભીતિ રહે છે. પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગહવેથી જે ખાનગી સોસાયટીઓ લોકફાળો ભરે છે અથવા અનુદાન મેળવતી હોય, તેવી સોસાયટીઓમાં પાલિકા દ્વારા વિનામૂલ્યે વૃક્ષોનું ટ્રીમિંગ કરી આપવામાં આવશે. આ કામગીરી માટે પોલપ્રુનર અને ચેઈન-સો જેવા આધુનિક સાધનો સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એજન્સીની નિમણૂક કરવામાં આવશે. ટ્રીમિંગ બાદ નીકળતા ગાર્ડન વેસ્ટના નિકાલ માટે પાલિકા દ્વારા અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સોસાયટીમાં ગંદકી ન થાય.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 11:03 pm

વડોદરામાં મહિલાઓ માટે રોજગાર મેળો:8 માર્ચે 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ, સ્નાતક મહિલાઓ પાત્ર

વડોદરામાં 8 માર્ચે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટિસ અને રોજગાર મેળાનું આયોજન કરાયું છે. આ મેળો મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ ભરતીમેળો 8 માર્ચ, રવિવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટિસ હાઇટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ, વડોદરા ખાતે યોજાશે.વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી 18 વર્ષથી વધુ વયની મહિલા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ફક્ત મહિલાઓ માટે જ તકો પૂરી પાડવામાં આવશે. 21 થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તક મળશે. જ્યારે 30 થી 45 વર્ષની સ્નાતક મહિલાઓને વીમા ક્ષેત્રમાં સીધી રોજગારી માટે તક અપાશે. આ ઉપરાંત, 18 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે 'વુમન ઇન્સ્યોરન્સ મેનેજર' તરીકે પણ તકો ઉપલબ્ધ છે. આ ભરતી મેળામાં 'લાઇફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગ'ની કુલ 45 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાશે. રસ ધરાવતી અને પાત્રતા ધરાવતી ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારોને તેમના બાયોડેટા સાથે સ્વખર્ચે નિર્ધારિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 10:21 pm

બે વર્ષ બાદ સુરતનું સબસર ગરનાળું ખુલશે:લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, સુરત મેટ્રો અને રેલવે સ્ટેશનની કામગીરીમાં વેગ

ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મેટ્રો અને રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરીને કારણે શહેરના પૂર્વ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ અને કામરેજ તરફથી આવતા લાખો લોકો માટે 'લાઈફલાઈન' સમાન સબરસ ગરનાળું છેલ્લા બે વર્ષથી બંધ હોવાને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, હવે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની સ્થળ મુલાકાત બાદ આ સમસ્યાનો સુખદ અંત આવવાની તૈયારી છે. સબરસ ગરનાળું બંધ થવાથી વરાછા મેઈન રોડ પર ટ્રાફિકસુરતના સ્ટેશન વિસ્તારને વરાછા અને લંબે હનુમાન રોડ સાથે જોડતા બે મુખ્ય માર્ગો છે. એક ખાંડ બજાર ગરનાળું અને બીજું સબરસ હોટલ પાસેનું ગરનાળું, જ્યારે પણ રેલવે સ્ટેશનની પૂર્વ દિશાએથી પશ્ચિમ દિશામાં સ્ટેશન તરફ આવવું હોય, ત્યારે આ બે ગરનાળા જ એકમાત્ર વિકલ્પ છે. સબરસ ગરનાળું બંધ થવાને કારણે વરાછા મેઈન રોડ પર વાહનોનું ટ્રાફિક અસહ્ય વધી ગયું હતું, જેના કારણે પોદ્દાર આર્કેટ અને સહારા દરવાજા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. કમિશનરની અધ્યક્ષતામાં બેઠક અને વિઝિટઆજે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાકર, મેટ્રો રેલના અધિકારીઓ, સીટકો, રેલવે પોલીસ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી સહિતના કાફલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રોની કામગીરીમાં ઝડપ લાવવા અને જનતાને પડતી તકલીફો ઓછી કરવાનો હતો. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે સબરસ ગરનાળા પર મોટાભાગનું સ્લેબ ફિલિંગ અને સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. આ પરિસ્થિતિને જોતા કમિશનર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી 15 દિવસમાં 20 ફૂટની પહોળાઈ સાથે હંગામી ધોરણે આ ગરનાળું વાહનચાલકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવે. ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના માસ્ટર પ્લાનમાત્ર સબરસ ગરનાળું જ નહીં, પણ સમગ્ર સ્ટેશન વિસ્તારને ટ્રાફિકમુક્ત કરવા માટે કમિશનર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં રેલવે સ્ટેશનની બરાબર સામે રિક્ષા ચાલકોના આડેધડ પાર્કિંગ અને સ્ટેન્ડને કારણે મુસાફરોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે કમિશનરે આદેશ આપ્યો છે કે, દિલ્હી ગેટ પાસે જે જૂનું પેટ્રોલ પંપ તોડી પાડવામાં આવ્યું છે, તે ખાલી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ ખસેડવામાં આવે. આનાથી સ્ટેશનનો મુખ્ય માર્ગ મોકળો થશે. આ સાથે સરદાર પટેલની પ્રતિમા પાસે સીટકોની કામગીરી ચાલી રહી છે, જેને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. કમિશનરે સૂચના આપી છે કે જે જે ભાગમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાંથી તાત્કાલિક ધોરણે બેરીકેટ્સ હટાવી લેવામાં આવે જેથી વાહનચાલકોને થોડી વધુ જગ્યા મળી શકે. રસ્તાને ખુલ્લો કરવા સિટી એન્જિનિયરને તાકીદલાલ દરવાજાથી આયુર્વેદિક કોલેજ સુધીના રસ્તાને પહોળો કરવા માટે અગાઉ લાઈન દોરી નાખવામાં આવી હતી. આ લાઈન દોરીનો ઝડપથી અમલ કરી રસ્તાને ખુલ્લો કરવા માટે પણ સિટી એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. આ રસ્તો પહોળો થવાથી સ્ટેશનથી કતારગામ અને ચોકબજાર તરફ જતો ટ્રાફિક હળવો થશે. પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહતવરાછા અને કામરેજના લોકોને હવે સ્ટેશન પહોંચવા માટે પોદ્દાર આર્કેટનો લાંબો ફેરો નહીં લેવો પડે. તેથી ટ્રાફિકમાં ઊભા રહેવાથી થતો પેટ્રોલ-ડીઝલનો વ્યય ઘટશે. અને સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મચારીઓને આ માર્ગ ખુલવાથી મોટી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 10:12 pm

શહેરમાં ટ્રાફિક હળવો કરવા AMCની કાર્યવાહી:વસ્ત્રાપુર-ગુરુકુળ રોડ પર 7 દુકાનો સીલ કરાઈ, ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં ખાણીપીણી સ્ટોલ શરૂ કર્યા'તા

શહેરના વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને ગુરુકુળ રોડ ઉપર કેટલાક ખાણીપીણીની દુકાનો ધરાવતા તેમજ કોમ્પલેક્ષના ફૂટપાથ અને માર્જિનની જગ્યાના આગળના ભાગે ટેબલ ખુરશીઓ નાખીને ખાણીપીણીના સ્ટોલ ઊભી કરનાર દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર તળાવ અને ગુરુકુળ રોડ ઉપર સાત જેટલી દુકાનોને સીલ કરી દીધી છે. રોડ ઉપર ટ્રાફિક ન થાય તેના માટે કોમ્પ્લેક્સ ના ફૂટપાથ અને માર્જિનની જગ્યામાં પાર્કિંગ કરાવવામાં આવે છે, પરંતુ આ જગ્યામાં પાણીપુરીની દુકાનો ઊભી કરી દેવામાં આવતી હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેથી એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. AMC દ્વારા 7 દુકાનોને સીલ કરવાની કાર્યવાહીશહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સો અને બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યામાં વાહનો પાર્કિંગ કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે લોકો જગ્યામાં પાર્કિંગ ન કરાવતા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ, વસ્ત્રાપુર તળાવ, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનની આગળ માર્જિનની જગ્યા અને ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગ કરાવવામાં આવતું હોય છે. જેને લઇને ગુરુકુળ રોડ પર નીલમ સેન્ડવીચ, આંટી દે પરાઠે, શિવમ સ્નેક અને વસ્ત્રાપુર તળાવ રોડ પર રાજા રાણી ફ્રુટ્સ, મૈસુર ઢોંસા, લીલા સેન્ડવીચ, વિવેક ચાઇના ટાઉન સહિત કુલ 7 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50 હજારની નોટિસ ફટકારીબાંધકામ સાઈટોમાં ગ્રીન નેટ લગાવવાની વ્યવસ્થા ન કરેલ હોવાથી/ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં નહીં મૂકી શહેરના વાતાવરણને નુકશાન કરવા બદલ ચાંદલોડીયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે આદિતી સેફયાર તથા શ્લોક એમાલ્ટ્સ, ગોતા વોર્ડમાં સત્યમ મંગોલિયા, આર્કેડિયા-57, સાંકેથમ લેક વ્યૂ, આર્કેડિયા-111, ધ સેવન, આત્મન ગેન્ડયોર તથા થલતેજ વોર્ડમાં સ્ટેટ્સ અલ્ટેઝા સરકયુલરનો ભંગ કરવા બદલ બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. તેમજ દરેકને વહીવટી ચાર્જ પેટે રૂ.50000/-ની નોટિસ આપવામાં આવી છે. ટીપી રોડ ઉપરના 120 કોમર્શિયલ બાંધકામો દૂર કરાયાશહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઉત્તર ઝોનમાં નેશનલ હાઈવે 8 પર નરોડાના ટોયેટા સર્કલથી નાનાચિલોડા બ્રિજ સુધીના 60 મીટર અને નાના ચિલોડા ગામ તરફના 30 મીટર પહોળા રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. ટીપી રોડ ઉપર આવતા 120 જેટલા કોમર્શિયલ બાંધકામોને પણ દૂર કરવામાં આવ્યા છે. આ રોડ ખુલ્લો થવાના કારણે નરોડા પાટિયા તરફથી નાનાચિલોડા સુધી ટ્રાફિકને રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:49 pm

સુરત મનપા પર વિપક્ષના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ:એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા પાયલ સાકરીયાની ઉગ્ર માંગ

સુરત મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન વરાછા વિસ્તારમાં આવેલા મગોબ-ડુંભાલમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલપ કરવાના પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ શાસક ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઇજારદારોને આર્થિક ફાયદો કરાવવા માટે પાલિકાના હિતોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. તેમણે આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને કસૂરવાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની અને કરોડોની વસૂલાત કરવાની ઉગ્ર માંગ કરી છે. વર્ષ 2012થી પ્રોજેક્ટ લટકેલો રહ્યોવર્ષ 2012માં સ્થાયી સમિતિના ઠરાવ નંબર 1123/2012 થી ટી.પી. સ્કીમ નંબર 53 મગોબ-ડુંભાલમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે 'રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ' (સુરત) અને 'કેશવ હોલીડે રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' (મહેસાણા) ના કોન્સોર્ટીયમને કામગીરી સોંપવામાં આવી હતી. પાયલ સાકરિયાએ આક્ષેપ કર્યો છે કે, 2012થી આજદિન સુધી આ ઇજારદાર દ્વારા ઠરાવની શરતો અને જોગવાઈઓનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ ડેવલપ કરવામાં ઇજારદાર નિષ્ફળ રહ્યો છે અને પાલિકાને કરવાની થતી કરોડો રૂપિયાની ચૂકવણીઓ પણ હજુ સુધી કરવામાં આવી નથી. 'મીડિયેટર'ના નામે કરોડોની છૂટછાટનો ખેલસૌથી ગંભીર આક્ષેપ મીડિયેટરની ભૂમિકા અંગે કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતાના જણાવ્યા અનુસાર, જ્યારે ઇજારદાર બાકી નીકળતી રકમ અને પેનલ્ટી ચૂકવવામાં અસમર્થ સાબિત થયા, ત્યારે તેમણે ચુકવણીઓમાં રાહત મેળવવા માટે મધ્યસ્થી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આશ્ચર્યજનક રીતે, સુરત મનપાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પાયલ સાકરિયાએ જણાવ્યું કે, મીડિયેટર દ્વારા ઇજારદારની ફેવરમાં જે અભિપ્રાયો આપવામાં આવ્યા છે, તેનાથી સુરત મનપાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભાજપના શાસકો પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા અને ઇજારદાર સાથે મેળાપીપણું કરીને મનપાની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અબજો રૂપિયાની કિંમતી જમીન ઇજારદારના ચરણોમાં ધરી દેવામાં આવી છે. 'સામાન્ય જનતાને ખોળ અને બિલ્ડરોને ગોળ'વિપક્ષી નેતાએ શાસકોની નીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, મનપા અત્યારે સામાન્ય પ્રજા માટે ખોળ અને માનીતા બિલ્ડરો માટે ગોળ જેવી નીતિ અપનાવી રહી છે. સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસૂલાત કરવામાં આવે છે, જ્યારે મોટા બિલ્ડરો અને ઇજારદારોને કરોડોની રાહતો આપવામાં આવે છે. પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરતની અંદર મગોબ વિસ્તારમાં આવેલી ટીપી-53ની અંદર જે આપણી સુરત મહાનગરપાલિકાની જગ્યા હતી, એ જગ્યાની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કામ એટલે કહેવાયને કે વોટર પાર્ક બનાવવાનું કામ હતું. આ વોટર પાર્ક બનાવવા માટે જે-તે કોન્ટ્રાક્ટરને જે-તે સમયે આ જગ્યા આપેલી, કરારો થયેલા અને એ કરાર પ્રમાણે જે-તે કોન્ટ્રાક્ટરે સમય મર્યાદાની અંદર આખું ડેવલપ કરવાનું હતું. સુરત મહાનગરપાલિકામાં પૈસા ભર્યા નથીડેવલોપ કર્યા બાદ એમને જે જગ્યાનું જે ભાડું છે, એ મહાનગરપાલિકાને ચૂકવવાનું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જે કોન્ટ્રાક્ટર છે રાજગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એમણે દર વખતે નાના-મોટા બહાનાઓ બતાવીને કે 'ભાઈ અમારી પાસે આવી રીતના પૈસા ભરવાના નથી, અમે ભરીશું નહીં, અમારા માટે નુકસાનકારક છે' આ તે બધા અલગ-અલગ પ્રકારના બહાના બતાવીને એમણે સુરત મહાનગરપાલિકાને પૈસા ભર્યા નથી. પૈસા કઢાવવા ભાજપના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યાછેલ્લે મહાનગરપાલિકા પણ કહેવાયને કે એકદમ બિચારી થઈ ગઈ હોય એવી રીતના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વચ્ચે મિડિએટર રાખ્યા કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા કઈ રીતના વસૂલી શકાય એના માટેનું આયોજન કહો. ત્યારે મિડિએટરે પણ કોન્ટ્રાક્ટરની તરફદારી કરી હોય એવી રીતના કે 'ભાઈ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થઈ તો તમે હજી સમય લંબાવી આપો અને જે પૈસા જે છે કે વસૂલવાના છે, ખરેખર કોન્ટ્રાક્ટરની વાત સાચી છે, પૈસા આપી શકે એવી પરિસ્થિતિ નથી, ઘણા સમયથી પાર્ક બંધ હતો' આ તેવા બધા બહાનાઓ બતાવ્યા હતા. જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએજેમનું કામ આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવ્યું હતું. અમારી સ્પષ્ટ માંગ એ છે કે જ્યારે કરોડો રૂપિયાની જમીન આપણે કોઈને ડેવલપ કરવા માટે આપી હોય અને સમય મર્યાદાની અંદર ડેવલપ ના કરી શકે, તો એ જગ્યા એમની પાસેથી પાછી લઈ લેવી જોઈએ. અને વેરો શા માટે ના ભરે? આજે સામાન્ય માણસ વેરો નથી ભરતો તો તમે 18 ટકાના ટેક્સ સાથે તમે પૈસા વસૂલો છો, તો એમની પાસે પણ તમે વ્યાજ સાથેના પૈસા વસૂલો. એ જે જગ્યા છે, ડેવલપ નથી કરી શકતા તો એમની પાસેથી લઈ લો. જે આટલા વર્ષોથી આપણને વેરો પણ નહોતા આપતા, આપણને જે પૈસા લેવાના નીકળતા હતા એ પૈસા આપતા નહોતા, સમય મર્યાદા ચૂકી ગયા છે તો એમને બ્લેકલિસ્ટ કરવા માટેની અમે સ્પષ્ટ માંગણી કરી છે. હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરાઈ હતીસ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, અમેઝિયાને કોર્પોરેશન દ્વારા જે જગ્યાની ફાળવણી કરવામાં આવેલી હતી, તેમાં કાયદાકીય ગૂંચ ઉભી થતા હાઈકોર્ટમાં અમેઝિયા દ્વારા અરજી કરવામાં આવેલી હતી અને હાઈકોર્ટ દ્વારા મીડિએશનની રજૂઆત કરવામાં આવેલી હતી. જેને આધારે જે મીડિએટર હતા તેમણે અભિપ્રાય આપ્યો છે અને તેના આધારે આપણે 22 કરોડ રૂપિયા આ આઠમા મહિના સુધીની ગણતરી છે અને ત્યાર પછીના આટલા દિવસ સુધીના જે ઠરાવની રકમ હશે, તે પ્રમાણે તેમણે ચુકવણું કરવાનું રહેશે. મનપાને કોઈપણ નફો મેળવવાનો આશય નહોતોસૌ પ્રથમ એક મહિનામાં 10 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપવાના રહેશે અને બાકીની જે રકમ રહે છે તે ત્રિમાસિક ધોરણે અમેઝિયાએ ચુકવવાની રહેશે. વધુમાં આપણે મીડિએશનમાં હતા તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે આપણે આજે જગ્યા છે તે ફક્ત અને ફક્ત લોકોના મનોરંજન માટે આપીએ છીએ. આમાં સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ નફો મેળવવાનો આશય નહોતો. પણ, લોકોને આપણે મનોરંજનનું સાધન પૂરું પાડી શકીએ તે માટે આ જગ્યા આપી છે અને તેના માટે જ આપણે આજે આ મંજૂર કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:43 pm

7 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ પહેલા આરોપી સામે ચાર્જશીટ:4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- 'સ્ત્રી એ રત્ન છે, કોઈ વસ્તુ નથી'

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. તો બીજી તરફ, કરોડોના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં DRI ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં આરોપીની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવતા કોર્ટે આરોપીની કસ્ટડીને ગેરકાયદે ઠેરવી છે. ચોકલેટની લાલચ આપી આરોપીએ માસૂમને પીંખી હતીઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2022ના રોજ પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે ઘર પાસે રમી રહી હતી, ત્યારે 40 વર્ષીય આરોપી રમેશ ઉર્ફે અજય પરમારની નજર તેના પર પડી હતી. આરોપીએ માસૂમને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી અને તેને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રડતી રડતી બાળકી ઘરે પહોંચી અને માતાને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી, જેના આધારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટનું અવલોકન 'જ્યાં નારીની પૂજા ત્યાં ભગવાનની કૃપા'આ કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલ વિશાલ ફળદુની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે મનુસ્મૃતિ અને ચાણક્યના શ્લોકો ટાંક્યા હતા. કોર્ટે નોંધ્યું કે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે ચાણક્યના મતે સ્ત્રી અમૂલ્ય રત્ન છે, કોઈ વસ્તુ કે અલંકાર નથી. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા અને ગરિમા જાળવવા પર ભાર મૂક્યો છે. પીડિતાને વળતર અને કડક સજાનો આદેશબાળકીના શારીરિક અને માનસિક આઘાતને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને માત્ર જેલની સજા જ નહીં, પરંતુ પીડિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રૂ. 6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. આરોપી રમેશ પરમારે કરેલું કૃત્ય જઘન્ય હોવાથી તેને કોઈ પણ પ્રકારની રહેમ ન બતાવતા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાથી સુરતના કાયદાકીય વર્તુળમાં અને સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે બાળકો પર થતા અત્યાચારોને ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. DRIએ ધરપકડ વગર જ ચાર્જશીટ ફાઈલ કરી દીધીક્રાઈમના બીજા એક કિસ્સામાં, DRI દ્વારા ગોલ્ડ સ્મગલિંગના કેસમાં તપાસમાં મોટી ખામી સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડના સોનાના કેસમાં મુખ્ય આરોપી સરફરાજ બાપુ રાજની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ હતી કે DRI એ આરોપીની ધરપકડ કર્યાના મહિનાઓ પહેલા જ કોર્ટમાં તેની સામે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ ધરપકડ પહેલા ચાર્જશીટ રજૂ કરવી એ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. DRIની ધરપકડ ગેરકાયદે ઠરીઆરોપી સરફરાજ તરફથી એડવોકેટ વિરલ ચલિયાવાલાએ કોર્ટમાં જંગ છેડ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે DRI એ પ્રોસીક્યુશન ફાઈલ કર્યું ત્યારે આરોપી હાજર પણ નહોતો અને તેની નકલ પણ અપાઈ નહોતી. ધરપકડ પહેલા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, છતાં પ્રક્રિયામાં લોચો માર્યો હતો. કાયદા મુજબ, ચાર્જશીટ ત્યારે જ ફાઈલ થાય જ્યારે આરોપી કસ્ટડીમાં હોય અથવા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થઈ હોય. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને આરોપીની કસ્ટડીને ગેરકાયદેસર જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:29 pm

આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ:કે.પી. બોયઝ હાઈસ્કૂલમાં મહત્વના નિર્ણયો લેવાયા

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘની પ્રથમ કારોબારી બેઠક કે.પી. બોયઝ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. આ બેઠકમાં મહામંત્રી યુવરાજસિંહે શાબ્દિક સ્વાગત કરી એજન્ડા મુજબ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ, જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનના સ્થળ અને કાર્યક્રમ અંગે ચર્ચા કરી તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજ્યના બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવાના એજન્ડા મુજબ, પ્રમુખ સુનિલભાઈએ મનુભાઈ જોગરાણા અને મુકેશભાઈ ઉપાધ્યાયના નામની દરખાસ્ત કરી, જેને સર્વસંમતિથી મંજૂરી મળી હતી. અધ્યક્ષ આર. કે. ગોહિલ સાહેબે ઓપીએસ ફાઈલ અને સેવા જોડાણ અંગે ઓફિસ દ્વારા થયેલી કાર્યવાહીની માહિતી આપી હતી. તેમણે આ અંગે થયેલી રજૂઆતોની પણ વિસ્તૃત જાણકારી આપી. અધિવેશનના ક્નવીનર તરીકે સંદીપભાઈ પટેલ અને સહ-ક્નવીનર તરીકે ગજેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંઘની અત્યાર સુધીની કાર્યવાહી, ઓફિસમાં ઉદ્ભવેલા પ્રશ્નોની રજૂઆત અને રાજ્ય કક્ષાના પ્રશ્નોની પણ આ કારોબારીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.પ્રથમ કારોબારી બેઠકમાં તમામ સદસ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ બદલ અધ્યક્ષ, પ્રમુખ અને મહામંત્રી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:22 pm

AMCએ સ્કૂલને રજૂઆત કરવાની તક આપી:સેવનથ ડે સ્કૂલની લીઝની જમીન બાબતે યોગ્ય પુરાવા સાથે રજૂઆત કરવા સમય અપાયો, યોગ્ય કારણ ન રજૂ કરે તો પરત લેવાશે

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીઝ પર જગ્યા આપવામાં આવી હતી. લીઝ કરારની શરતોનો ભંગ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો હતો. આમ અમને ગુજરાત હાઇકોર્ટમાં સ્કૂલ તરફથી પિટિશન કરવામાં આવી હતી એ પરંતુ છેવટે સ્કૂલ દ્વારા પિટિશન પરત કરી લેવામાં આવી છે. હવે સ્કૂલને પોતાના તરફથી રજૂઆત કરવા માટેની તક આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્કૂલના સત્તાધીશોને બોલાવી જવા માંગવામાં આવશે જુઓ તેઓ દ્વારા આ બાબતે શરતોનો ભંગ થયો હશે તો કોર્પોરેશનની જગ્યાનો કબજો પરત લેવામાં આવશે. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત કરવા આપવામાં આવશેલીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલની જગ્યા મ્યુનિ.ની શરતોનો ભંગ કર્યો હશે તો તે જગ્યા હસ્તગત કરશે. લીગલ કમિટિમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જમીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેને પરત લઇ લેવા માટે કરાયેલી કામગીરી માટે સ્કૂલ સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પિટિશન પરત ખેંચી લીધી હતી. સ્કૂલ સંચાલકોને યોગ્ય રજૂઆત માટે તક આપવામાં આવશે. શરતોનો ભંગ થયો હોવાનું જણાશે તો જગ્યા પરત લવાશેસ્કૂલ સંચાલકોએ લેખીતમાં પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. જે પણ મુદતમાં સ્કૂલ તરફથી રજૂઆત કરવામાં આવે તેની મીનીટ્સ પણ લખવામાં આવશે. જો યોગ્ય રજૂઆત બાદ જો શાળાને જે શરતોને આધીન જગ્યા આપવામાં આવી હતી તે શરતોનો ભંગ થયેલો જણાશે તો તેવી સ્થિતિમાં મ્યુનિ. આ જગ્યા પરત લઇ લેશે. નોંધનીય છેકે, મ્યુનિ.નો સીધો આક્ષેપ હતો કે, જે સંસ્થાને મ્યુનિ. દ્વારા શાળા ચલાવવા જમીન અપાઇ હતી તેણે અન્યને આ જગ્યા સોંપી હતી. જેથી તેને અપાયેલી જગ્યાની શરતોનો ભંગ થયો છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:21 pm

લક્ષમણ ટાઉનશીપમાં ચોથા માળેથી પટકાતા મેટોડાના યુવકનું મોત:આર્થિક ભીંસમાં સોની વેપારીએ એસિડ પીધો, સારવાર દરમિયાન મોત; દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્‍યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 108ને બોલાવતા 108ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ કરતાં તેના વાલીવારસ મળી આવ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર યુવાન મુળ કાલાવડનો અને હાલ મેટોડાની આસ્‍થા સોસાયટીમાં રહેતો મનિષ રમણિકભાઇ ધોળકીયા (ઉ.વ.34) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. મેટોડા આસ્‍થા સોસાયટીમાં પત્‍ની અને દીકરા-દીકરી સાથે રહેતો હતો. લક્ષમણ ટાઉનશીપમાં તે મોડી રાતે શું કરવા આવ્‍યો હતો? ચોથા માળે કોઇ પરિચીતને મળવા આવ્યો હતો કે પછી બીજા કોઇ કામે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસમાં સોની વેપારીએ એસિડ પી જતા સારવારમાં મોતજામનગર રોડ પર વ્‍હોરા સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ ધકાણે ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે પડધરી નજીક ન્‍યારા ગામના પાટીયા પાસે જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થતા પડધરી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર હિરેનભાઇ સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં હતાં. છેલ્લા બે મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તેના કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હિરેનભાઈને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ભેદી રીતે ગુમ 14 વર્ષની સગીરા પશ્ચિમ બંગાળમાંથી મળીગઇ તા. 11 ડિસેમ્બર 2025ના રોજ રૂખડીયાપરાની 14 વર્ષીય સગીરા પોતાની બેહેનના ઘરે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ જતાં સગીરાની માતાએ પ્રદ્યુમનનગર પોલીસમાં અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સોર્સીસ મદદથી માહિતી મેળવી પશ્ચિમ બંગાળના પૂર્બ બર્ધમાન જિલ્લાના બોરા ગામ ખાતેથી અપહરણ કરનાર આરોપી રાજેશ સંતરાની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી પરિવારને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજેશ સંતરાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની ખરાઈ થતાં પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સગીરા એક કારખાનામાં મજૂરી કરવા જતી હતી, ત્યારે તેનો પરિચય રાજેશ સંતરા સાથે થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ રાજેશ સગીરાને લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળ ખાતે ભગાડી ગયો હતો. કારચાલકે બાઈકને અડફેટે લેતા મોટાવડાના ખેડુતનું મોતરાજકોટ નજીક મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉ.વ.65) અને તેના કુટુંબી ભાઇ જીવનભાઇ નરસીભાઇ પાંભર (ઉ.વ.70) બંને હોન્‍ડા પર બેસી ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત ફરતી વખતે સાંજે 8.30 વાગ્‍યે ખીરસરા-મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં અને કારમાં પણ ભારે નુકસા થયું હતું. અકસ્‍માતમાં જીવનભાઇ પાંભરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો, જ્‍યારે અરવિંદભાઇ પાંભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતાં, પરંતુ અહી તેમનું મોત થતા મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. અરવિંદભાઇ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. 4.10 લાખના 8 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યોરાજકોટ શહેર SOG દ્વારા ગ્રીનલેન્ડ ચોક પાસે શિવનગર તરફ જતા રસ્તામાં ફ્રુટનો વેપાર કરતા જંગલેશ્વરના સાગર ચોક આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નંબર 4 ક્વાર્ટર નંબર 206માં રહેતા મૂળ જૂનાગઢના ઇબ્રાહિમ ઉર્ફે શાહબાઝ ઉર્ફે ટીકડો રજાકભાઇ શેખ (ઉ.વ.23)ને રૂપિયા 4.10 લાખના 8 કિલો અને 200 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો રાજસ્થાનના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ અને ઉલ્ટીની બીમારીથી 7 માસની બાળકીનું મોતજામનગર રોડ પર કલ્યાણ પાર્ક શેરી નંબર 2માં રહેતાં કલ્પેશભાઇ નકુમની 7 મહિનાની દિકરી હિતાંશીને બે દિવસથી તાવ-ઉલ્ટી થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો. બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:18 pm

મગદલ્લામાં બનશે સુરતનું નવું કોર્ટ બિલ્ડીંગ?:દીકરીઓને જલ્દી ન્યાય અપાવો, પોક્સોના કેસોમાં ઝડપી ટ્રાયલ માટે DyCMની વકીલોનોને અપીલ

સુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનો લગભગ અંત આવ્યો છે. આજે સુરત કલેકટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારઘી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવી કોર્ટ બિલ્ડીંગ માટે મગદલ્લા ગામની જગ્યા પર ચર્ચા હાથ ધરાઇ હતી, જે વકીલો અને અસીલો બંને માટે સુવિધાજનક સાબિત થશે. કલેકટર કચેરીમાં બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી કોર્ટ પહોંચ્યાજ્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે જ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે. કલેક્ટર સાથેની મિટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી તેઓ સીધા જ સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી નવી બિલ્ડીંગના આયોજન અંગે માહિતી આપી હતી. 'પોક્સો'ના કેસોમાં ઝડપી ટ્રાયલ માટે વકીલોને અપીલકોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસો પર રહ્યો હતો. તેમણે વકીલોને સંબોધતા ભાવુક અપીલ કરી હતી કે, પોક્સો સંબંધિત કોઈપણ કેસમાં બને તેટલી ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો અભિગમ ગુનેગારોને વહેલી તકે સજા અપાવી પીડિત દીકરીઓને ત્વરિત ન્યાય અપાવવાનો છે. તારીખ ન પાડો, દીકરીઓને ન્યાય અપાવો: હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ વકીલો સમક્ષ હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું હતું કે, હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આ જ ધરતીએ આપણને મોટા કર્યા છે. મારી વિનંતી છે કે પોક્સોના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારને સજા થાય તેવો પ્રયાસ કરો. આ અપેક્ષા માત્ર મારી નથી, પરંતુ આખા રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ન્યાય માટે છે. ઐતિહાસિક ચુકાદાઓ અને ઝડપી ન્યાય પર ભારહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપમાં ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી. હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે. આપ સૌ લોકોને પણ આ જ ધરતીએ મોટા કર્યા છે તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે, આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપથી ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા પણ જરૂરથી અમને સૌને છે અને અપેક્ષા માત્ર અને માત્ર આપણા શહેરની રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:08 pm

વિજાપુરના ડોક્ટર સાથે 1.63 કરોડની છેતરપિંડી:શિવમ કેસ્ટર કંપની પચાવી પાડવાના કાવતરામાં સાત સામે ફરિયાદ

વિજાપુરના જાણીતા ડો. ભરતકુમાર કચરાભાઈ પટેલે પોતાની માલિકીની 'શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રા.લી.' કંપનીના વેચાણ સોદામાં રૂ. 1.63 કરોડની છેતરપિંડી અને ઉચાપત અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં સાત શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસમાં લઈને કંપનીનો વહીવટ સંભાળ્યા બાદ આરોપીઓએ માલની અવરજવર વગર ખોટા બિલ બનાવી કંપનીના નાણાં ઓળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. રૂ. 200 કરોડના ટર્નઓવરની કંપનીનો 23.51 કરોડમાં સોદો નક્કી થયોફરિયાદ અનુસાર ડો. ભરતભાઈ વિજાપુરમાં હોસ્પિટલ ચલાવતા હોવાથી સમયના અભાવે લાડોલ સ્થિત પોતાની અંદાજે રૂ. 200 કરોડના ટર્નઓવરવાળી કંપની વેચવા માંગતા હતા. પરિચિત વેપારી દિનેશભાઈ અને કૌશિકભાઈ પટેલે શૈલેષ ગોરધનભાઈ પટેલ અને સચિન સંઘવી સારા માણસો હોવાનો ભરોસો આપતા માર્ચ-2024માં રૂ. 23.51 કરોડમાં કંપનીનો સોદો નક્કી થયો હતો. કરાર મુજબ માર્ચ-2025 સુધીમાં રકમ ચૂકવવાની હતી. દરમિયાન નવેમ્બર-2024માં કંપનીનો વહીવટી કબજો શૈલેષ પટેલ અને સચિન સંઘવીને સોંપવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ અને નાણાંની ઉચાપતનવા સંચાલકોએ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં રૂ. 93 લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ બાકી રકમ ચૂકવવામાં ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ લખતરની 'માધવ એન્ટરપ્રાઇઝ'ના ભાગીદારો સાથે મળીને કંપનીમાં એરંડાનો માલ આવ્યા વગર જ બોગસ બિલિંગ (બિલ નં. ME-19 થી ME-67) તૈયાર કર્યા હતા. જે ટ્રક નંબરો દર્શાવવામાં આવ્યા હતા તેની ક્ષમતા કરતા વધુ માલ બતાવાયો હતો અને કંપનીના ગેટપાસ કે સ્ટોક રજિસ્ટરમાં કોઈ એન્ટ્રી વગર જ કરોડો રૂપિયાના પેમેન્ટ બેંકમાંથી મેળવી લીધા હતા. આરોપીઓએ માલની ડિલીવરી આપ્યા વગર કુલ રૂ. 1,63,01,597ના ખોટા બિલો બનાવી તે પૈકી રૂ. 1,02,97,860 જેવી મોટી રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત રૂ. 7.68 લાખની GST ચોરી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં સાત શખસો સામે ફરિયાદલાડોલ પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે શૈલેષ ગોરધનભાઈ પટેલ, સચિન અનરાજ સંઘવી, કૌશિક જયંતિભાઈ પટેલ, દિનેશ જયંતિભાઈ પટેલ, દર્શન જી. પટેલ તથા માધવ એન્ટરપ્રાઇઝના ભાગીદારો પ્રદીપભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 9:03 pm

'રાજ્ય સરકાર નોકરીદાતા છે, શોષણ કરી શકે નહીં':હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના મિનિમમ પગાર અનુસાર કરવું, હાઈકોર્ટનો એક મહિનામાં નિર્ણય લેવા હુકમ

ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર રાજેશ જાની સહિત કુલ 6 અરજદારોએ એડવોકેટ એચ.કે. ઠાકોર અને ઉમેશ.ટી. મિશ્રાના સહયોગથી હોમગાર્ડના દૈનિક ભથ્થાને લઈને અરજી દાખલ કરી હતી. જે જસ્ટિસ મૌલિક શેલતની કોર્ટમાં રજૂ થઈ હતી. જેમાં હોમગાર્ડસને પણ રેગ્યુલર પગાર અને સરકારી નોકરી જેવા જ લાભો આપવાની માગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારોની અરજી અંશત: માન્ય રાખતા હુકમ કર્યો છે કે, હોમગાર્ડસને મળતું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને મળતા મિનિમમ પગાર અનુસાર કરવું જોઈએ. રાજ્ય સરકારને આ માટે નિર્ણય લેવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 53 હજાર જેટલા હોમગાર્ડ્સ છે. હોમગાર્ડનું દૈનિક ભથ્થુ પોલીસકર્મીના લઘુત્તમ પગાર કરતા ઓછુંઆ કેસમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, અત્યારે હોમગાર્ડને દૈનિક ભથ્થું 450 રૂપિયા મળે છે. જે પોલીસ કર્મચારીના મળતા લઘુત્તમ પગાર કરતા ઓછું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોમગાર્ડસના દૈનિક ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ-પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ કરવો જોઈએ. વર્ષ 2021માં હોમગાર્ડસનું દૈનિક ભથ્થું વધારીને 300 થી 450 રૂપિયા કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રના આદેશને અવગણી શકે નહીં. 'તેમને દૈનિક 650 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે'રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે, હોમગાર્ડસને પહેલા 200 રૂપિયા દૈનિક ભથ્થું મળતું હતું. તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ 2021માં 450 રૂપિયા તે સમયના લઘુત્તમ વેતન મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. તેમને મેડિકલ ફેસિલિટી મળે છે, આ ઉપરાંત એક ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમનું મેસ એલાઉન્સ પણ 100થી વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે. આમ તેમને દૈનિક 650 રૂપિયા જેટલું દૈનિક ભથ્થું મળે છે. કેન્દ્ર સરકારની રીવ્યુ પિટિશન પર ચુકાદો આવવાનો બાકીસુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેની સામે કેન્દ્ર સરકારે રીવ્યુ પિટિશન દાખલ કરી હતી. તેની ઉપર ચુકાદો આવવાનો બાકી છે. વળી હોમગાર્ડની સેવા તે સ્વૈચ્છિક સેવા છે. જ્યારે પોલીસની ડ્યુટી અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક માટે હોય છે. હોમગાર્ડની જરૂર હોય ત્યારે જ ડ્યુટી ઉપર બોલાવવામાં આવે છે. 'રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં'જો કે, હાઇકોર્ટે નોધ્યું હતું કે, સુપ્રીમના ચુકાદાનું પાલન કરવા દરેક રાજ્ય બંધાયેલું છે. વર્ષ 2018માં પોલીસને મળતું મિનિમમ દૈનિક વેતન 631 રૂપિયા હતું. જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડના જવાનોને દૈનિક મેસના ભથ્થા તરીકે 200 રૂપિયા આપવાની વાત છે, પરંતુ સરકારી વકીલ તેમને આ ભથ્થું મળી રહ્યું છે કે નહીં તે સાબિત કરી શક્યા નથી. રાજ્ય સરકાર કેન્દ્ર અને સુપ્રીમના આદેશોને નકારી શકે નહીં. 'રાજ્ય સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં'આથી હોમગાર્ડનું દૈનિક ભથ્થું 450 રૂપિયાથી વધારીને પોલીસ કર્મચારીઓને જે મિનિમમ પગાર મળે છે તે જ દૈનિક ધોરણે મુજબ આપવું જોઈએ. પોલીસ કોન્સ્ટેબલનેને હાલમાં લઘુતમ 21,000 થી લઈને 25000 રૂપિયા સુધીનો પગાર મળે છે. રાજ્ય એક આદર્શ નોકરી દાતા છે. તે કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. વળી સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ રીવ્યૂ પિટિશન ફગાવી કાઢી છે. 'એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે'રાજ્ય લોકો ઉપર જુલમ કરી શકે નહીં. આ વાત બંધારણના સમાનતાના અધિકારોનો ભંગ કરનારી છે. રાજ્યની રજૂઆતોથી કોર્ટ સંતુષ્ટ નથી. જેથી એક મહિનાની અંદર રાજ્ય સરકાર નિર્ણય લે કે હોમગાર્ડ્સના 450 રૂપિયાના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કોન્સ્ટેબલને મળતા દૈનિક મિનિમમ વેજ જેટલું કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:55 pm

માળીયાના બગસરા ગામે નીલગાયનો શિકાર:તળાવ પાસે મૃત હાલતમાં મળી, ફાયરિંગના નિશાન

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે તળાવ નજીક એક નીલગાયનો શિકાર કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. નીલગાય મૃત હાલતમાં મળી આવી હતી. મૃત નીલગાયના શરીર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત, તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ મારવામાં આવ્યા હોવાનું જણાયું હતું. આ નિશાનો શિકારની પુષ્ટિ કરે છે. ગામના જાગૃત વ્યક્તિને આ અંગેની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નીલગાયને મૃત હાલતમાં જોઈને તેમણે તાત્કાલિક સંબંધિત વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળીયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર નીલગાયના શિકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ગ્રામજનોએ શિકાર કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:40 pm

બેંગકોક જતા બે વલસાડી પેસેન્જર પાસેથી 60 લાખના ડોલર જપ્ત:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ ટ્રોલી બેગ ખોલતાં ભાંડો ફૂટ્યો

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે ઘણા દેશોએ એર સ્પેસ બંધ કરી દીધા છે, જેના કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં ખૂબ જ ઓછી ફ્લાઈટો ચાલી રહી છે. આવી જ પરિસ્થિતિમાં આજે બેંગકોક જતી ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા બે વલસાડના મુસાફરો (એક પુરુષ અને એક મહિલા) પાસેથી કસ્ટમ્સ વિભાગે 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્ત કરી છે, જેનાથી એરપોર્ટ પર ચકચાર મચી ગઈ છે. 60 લાખથી વધુની વિદેશી ચલણી નોટો જપ્તચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર યુનિટ-અમદાવાદના અધિકારીઓએ આજે ફ્લાઈટ નંબર FD145 (બેંગકોક જતી)માં મુસાફરી કરી રહેલા બંને યાત્રીઓને અટકાવ્યા હતા. તેમના સામાન અને વ્યક્તિગત તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી અનુક્રમે USD 35,300 અને USD 35,040 (કુલ USD 70,340) મળી આવ્યા હતા, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે ₹63 લાખ થાય છે. તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું કસ્ટમ્સ એક્ટ 1962, FEMA 1999 અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ચલણની નિકાસ અને આયાત) રેગ્યુલેશન્સની જોગવાઈઓ હેઠળ આ સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને મુસાફરો વલસાડના હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓ હાલમાં આ વિદેશી ચલણ ક્યાંથી મેળવ્યું, કોના માટે લઈ જતા હતા, તેનું સ્ત્રોત શું છે અને આ રકમ કેવી રીતે ભારતમાંથી બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્તઆ ઘટના એરપોર્ટ પર ચાલી રહેલી સઘન તપાસ અને સુરક્ષા વ્યવસ્થાનું પરિણામ ગણી શકાય છે કારણ કે, યુદ્ધના તણાવ વચ્ચે ઓછી ફ્લાઈટોમાંથી પણ આવી મોટી રકમ જપ્ત થવી એક મોટો ખુલાસો ગણાય છે. કસ્ટમ્સ વિભાગે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે અને આગામી કલાકોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Mar 2026 8:36 pm