SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

સુરત AAPમાં ભડકા જેવી સ્થિતિ:વોર્ડ-2ના સહ-કન્વીનરનું રાજીનામું, ચિત્રહીન વ્યક્તિને ટિકિટ આપવાની તૈયારીના ગંભીર આક્ષેપ, કહ્યું- પ્રચારમાં સાથે મહિલાઓને કેવી રીતે મોકલવી?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર-2ના સહ-કન્વીનરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા તેમણે પક્ષની કાર્યપદ્ધતિ અને ઉમેદવારની પસંદગીના માપદંડો સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. ચિત્રહીન વ્યક્તિને ટિકિટ આપવાની તૈયારીના ગંભીર આક્ષેપ સાથે કહ્યું હતું કે, પ્રચારમાં તેની સાથે મહિલાઓને કેવી રીતે મોકલવી? ‘ટિકિટનો મોહ નહીં પણ પરિવર્તનની લડાઈ હતી’રાજીનામું આપનાર પદાધિકારી અશોક બલરે સ્પષ્ટતા કરી છે કે તેમનો નિર્ણય કોઈ ટિકિટ ન મળવાને કારણે નથી. તેમણે કહ્યું કે, મેં ક્યારેય ટિકિટ માંગી જ નથી, એટલે ટિકિટ ન મળવાનો કોઈ અફસોસ હોઈ શકે નહીં. અમારો હેતુ પ્રામાણિક ઉમેદવારોને જીતાડીને શહેરમાં પરિવર્તન લાવવાનો હતો. તેમણે પક્ષના કાર્યકરો અને મિત્રોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો માટે જોડાયા હતા. ચિત્રહીન વ્યક્તિને ટિકિટ આપવાના ગંભીર આક્ષેપરાજીનામા પાછળનું મુખ્ય કારણ જણાવતા તેમણે વોર્ડ નંબર-5ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે, જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા તેમછતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. મહિલા કાર્યકરોની સુરક્ષાનો મુદ્દોતેમણે નૈતિકતાનો મુદ્દો ઉઠાવતા પ્રશ્ન કર્યો હતો કે, જો વિવાદાસ્પદ છબી ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવે, તો કયા મોઢે જનતા પાસે પ્રચાર કરવા જવું? ખાસ કરીને મહિલા કાર્યકરોની ગરિમા અને સુરક્ષાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આવા લોકો સાથે મહિલા કાર્યકરોને પ્રચારમાં મોકલવા તે યોગ્ય નથી. શહેર પ્રમુખને સોંપ્યું રાજીનામુંપોતાના પદનો મોહ છોડીને તેમણે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે ઉમેર્યું કે જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. ચૂંટણી પહેલા જ પાયાના કાર્યકરોનો આક્રોશ આમ આદમી પાર્ટી માટે સુરતમાં ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ મામલે શું સ્પષ્ટતા કરે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:06 pm

સ્માર્ટ ફ્લડ સેફ સિટી બનશે ગાંધીનગર:ચોમાસામાં જળબંબાકારની સમસ્યા માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લાગશે, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોના સતત મોનીટરીંગનું આયોજન

પાટનગર ગાંધીનગર હવે માત્ર હરિયાળા શહેર તરીકે જ નહીં પણ પૂર નિયંત્રણ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે પણ હાઈટેક બની રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પૂર નિયંત્રણ માટે અત્યંત આધુનિક વોટર લેવલ સેન્સર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ હાઈટેક સિસ્ટમની ખાસિયત એ છે કે, હવે શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થશે તેની સેકન્ડોમાં જ જાણ કંટ્રોલ રૂમને થઈ જશે. આ ટેકનોલોજીને કારણે તંત્ર હવે નાગરિકોની ફરિયાદની રાહ જોયા વગર જ એક્શન મોડમાં આવી શકશે. જળબંબાકારની સ્થિતિમાં વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને સામાનને નુકશાન થતુંગાંધીનગરના વિવિધ સેક્ટરો અને ખાસ કરીને અંડરપાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. અત્યાર સુધીની પદ્ધતિ મુજબ જ્યારે કોઈ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવતી હતી અથવા તો તંત્રના કર્મચારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે પરિસ્થિતિનો અંદાજ આવતો હતો. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થઈ જતો હતો. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને લોકોના માલ-સામાનને નુકસાન થતું હતું. જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરાશેજોકે, હવે આ નવી ડિજિટલ સિસ્ટમથી આખી પ્રક્રિયા રિયલ-ટાઈમ મોનિટરિંગ પર આધારિત બની જવાની છે. કેમકે આ સમસ્યાના નિરાકરણ માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરવામાં આવશે. આ સેન્સર્સ સીધા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી દ્વારા સેન્ટ્રલ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા રહેશે. જેવું કોઈ વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર નિર્ધારિત જોખમી સપાટીએ પહોંચશે કે તરત જ કંટ્રોલ રૂમમાં એલર્ટ ગુંજશે અને ડિજિટલ સ્ક્રીન પર લાઈવ લોકેશનની સાથે પાણીની ચોક્કસ ઊંડાઈ પણ જોવા મળશે. પાણીનું સ્તર ભયજનક બનશે તો ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશેઆનાથી ફાયદો એ થશે કે તંત્ર જેતે વિસ્તારમાં તાત્કાલિક પંપિંગ મશીનો મોકલી શકશે અને સ્થિતિ વિકટ બને તે પહેલાં જ પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેશે.ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનો ફસાઈ જવાના કે ડૂબી જવાના કિસ્સાઓ બનતા હોય છે. આ નવી સિસ્ટમ હેઠળ જો અંડરપાસમાં પાણીનું સ્તર ભયજનક બનશે તો સિસ્ટમ દ્વારા આપોઆપ ત્યાં લાગેલા ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશે અથવા ટ્રાફિક સિગ્નલને લાલ કરી દેવામાં આવશે. આનાથી વાહનચાલકો પાણીમાં પ્રવેશતા અટકશે અને જાનમાલનું નુકસાન નિવારી શકાશે. ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશેગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ ઝીરો ડિઝાસ્ટર અને ક્વિક રિસ્પોન્સ છે. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં શહેરના ડ્રેનેજ નેટવર્કને સુધારવા માટે પણ કરવામાં આવશે. કયા વિસ્તારમાં પાણીનો ભરાવો વારંવાર થાય છે, તેનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થશે જેના આધારે કાયમી સિવિલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ શોધી શકાશે. આમ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના સમન્વયથી ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશે. આગામી ચોમાસું આ ટેકનોલોજીના રક્ષણ હેઠળ ગાંધીનગરવાસીઓ વધુ સુરક્ષિત રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:02 pm

બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિકોત્સવની ઉજવણી:તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પારિતોષિક એનાયત કરાયા

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ (સાયન્સ ડિવિઝન) ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ સ્થિત પંડિત રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કરાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંયુક્ત મંત્રી મૃદુલાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી અન્વેષભાઈ પટેલ, કોલેજ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય ડૉ. નયન એસ. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વર્ષ દરમિયાનની વિવિધ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનારા તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિરાગ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ પારસ સેમરુડકરે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 10:00 pm

સુરેન્દ્રનગરમાં ભાજપનું 'ઘર ઘર મહાસંપર્ક અભિયાન':200થી વધુ કાર્યકર્તાઓ જોડાયા, લોકસંપર્ક મજબૂત બનાવવાનો સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર શહેરમાં ઘર ઘર મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જનસંપર્ક મજબૂત બનાવવાનો છે. આ અભિયાનમાં 200થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક પ્રજાજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમણે દરેક બૂથ અને દરેક ઘર સુધી પહોંચીને લોકસંપર્કને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે શહેર અધ્યક્ષ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિત દરેક વોર્ડના પૂર્વ સદસ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ અભિયાનને પ્રેરણાદાયક શરૂઆત આપી. આ અભિયાન દ્વારા ભાજપ સરકારના વિકાસના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:59 pm

શિક્ષક નિલેશ પટેલે શાળાને ₹1.25 લાખનું દાન આપ્યું:જૂના બાદલપુરની ઉત્તરબુનિયાદી શાળામાં તેમનો વિદાય સમારોહ યોજાયો

જૂના બાદલપુર ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી ઉત્તરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે અંગ્રેજી વિષયના શિક્ષક એન. કે. પટેલ (નિલેશ પટેલ) નો વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે શાળાના વિકાસ માટે રૂ. 1,25,000 (એક લાખ પચ્ચીસ હજાર) નું દાન અર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પટાંગણમાં પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળના સભ્યો, સાથી શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા નિલેશ પટેલનું શાલ ઓઢાડીને અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વક્તાઓએ તેમના શૈક્ષણિક પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે વર્ષો સુધી અંગ્રેજી જેવા વિષયને અત્યંત સરળ શૈલીમાં ભણાવીને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તેમની નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ ભાવના ભવિષ્યમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહેશે. પોતાની સેવા નિવૃત્તિના યાદગાર પ્રસંગે તેમણે આપેલ દાન બદલ સંસ્થાના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય વેળાએ પોતાના પ્રતિભાવમાં નિલેશ પટેલ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે આ સંસ્થા મારા માટે એક પરિવાર સમાન રહી છે. વર્ષો સુધી આ વિસ્તારના બાળકોને શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસનાર પટેલ સાહેબની વિદાય વેળાએ સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની આંખો પણ ભીની થઈ હતી. કાર્યક્રમના અંતે સૌએ સાહેબનું નિવૃત્ત જીવન સુખમય, આરોગ્યપ્રદ અને શાંતિમય બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:57 pm

AAPના જિલ્લા SC સેલ પ્રમુખનું પાર્ટીને અલવિદા:ઈસુદાન અને તેની ટીમને 'ચોર ચપાટા' અને 'લુચ્ચા' માણસોનું સંગઠન કહ્યું, ભ્રષ્ટાચારી ગણાવી ટિકિટો વેચવાનો લગાવ્યો આરોપ

​જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ સર્જાયો છે, જેમાં જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના SC સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષના પાયાના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટીના ગ્રુપમાં 'અલવિદા' કહીને એક વિસ્તૃત મેસેજ લખ્યો છે, જેમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરીયા જેવા દિગ્ગજ નેતાઓ પર સીધા પ્રહારો કર્યા છે. પક્ષને મજબૂત કરવામાં ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટુંવર્ષ 2018થી પક્ષને મજબૂત બનાવવા નિઃસ્વાર્થ ભાવે કામ કરનારા ધીરુભાઈએ આક્ષેપ કર્યો છે કે, આ પાર્ટીમાં મુસલમાન સમાજ, કોળી સમાજ અને દલિત સમાજની કોઈ કિંમત નથી, જ્યારે કે પક્ષને મજબૂત કરવામાં આ ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. તેમણે ગોપાલ ઇટાલિયાને એક 'મોટા કલાકાર' ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે, ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠીયા આખી પાર્ટીનું સંચાલન કરે છે અને રાજુ બોરખતરીયા તેમનો ખાસ ચેલો બનીને રૂપિયાનો તોડ કરવાનું કામ કરે છે. લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધી​ધીરુભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સ્તરે નેતાઓએ તનતોડ ઉઘરાણાં કર્યા છે અને લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધી છે. માળિયા, માણાવદર અને વિસાવદર જેવા તાલુકાઓમાં ટિકિટોની વહેંચણીમાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે ભાજપ સાથે તુલના કરતા કહ્યું કે ભાજપે 30-35 વર્ષ શાસન કર્યા પછી ભ્રષ્ટાચાર કર્યો હશે પરંતુ, આમ આદમી પાર્ટીમાં તો હજી માંડ સાડા ત્રણ ધારાસભ્યો જ આવ્યા છે ત્યાં અત્યારથી જ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે. જો આ પાર્ટી જિલ્લા પંચાયતોમાં સત્તા પર આવશે તો લોકો ફરીથી ભાજપના વખાણ કરવા મજબૂર બનશે એવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પક્ષના ધારાસભ્યના ત્રણ કાર્યાલયો હોવા સામે સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે જો ધારાસભ્યનો પગાર દોઢ લાખ હોય અને એક કાર્યાલયનો ખર્ચ મહિને એક લાખ થતો હોય, તો બાકીના લાખો રૂપિયા ક્યાંથી આવે છે તેની તપાસ જનતાએ પોતાના આત્માને જગાડીને કરવી જોઈએ. ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યાના આક્ષેપ​ગંભીર આક્ષેપો કરતા ધીરુભાઈ ગોહિલે વધુમાં કહ્યું કે, ઈસુદાન ગઢવીથી લઈને નીચે સુધીની આખી ટીમ ભ્રષ્ટાચારી છે અને તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ લડી રહ્યા છે. તેમણે દલિત, મુસ્લિમ અને કોળી સમાજને ચેતવણી આપતા કહ્યું કે, 2018માં જ્યારે પક્ષમાં મજૂર વર્ગ જોડાયો ત્યારે કેજરીવાલના વિચારો અને ભાષણોથી પ્રભાવિત થઈને લોકો આવ્યા હતા પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. 2025ની જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપને જીતાડવા માટે આમ આદમી પાર્ટીએ મોટા ષડયંત્રો કર્યા હતા અને તેના તેઓ પોતે પુરાવા છે. રાજુ બોરખતરીયાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાના ઈશારે વહીવટો કર્યા હતા અને એક વોર્ડમાં ત્રણ ઉમેદવારોની જગ્યાએ માંડ એક જ ઉમેદવાર મૂકવા દીધા હતા. વધુમાં, જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પક્ષના નેતાઓએ ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યા હોવાના પણ તેમણે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ​ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયાવિસાવદર વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે ખુલાસો કર્યો કે, જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડ્યા ત્યારે અનેક લોકોએ તેમને આર્થિક મદદ કરી હતી અને અઢળક ખર્ચ કર્યો હતો. હવે જે લોકોએ ગોપાલ ઇટાલિયાને આર્થિક મદદ કરી હતી, તેઓ પક્ષ પર હાવી થઈ ગયા છે અને વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો એક કરનારા જૂના કાર્યકર્તાઓને કાપી નાખવામાં આવ્યા છે. પક્ષની આ એક પોલિસી બની ગઈ છે કે, જે રૂપિયા આપે તેને જ જિલ્લા અને તાલુકા પંચાયતની ટિકિટો ફાળવવી. ધીરુભાઈએ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ રાજકીય લાલચમાં નથી કે નથી તેમને કોઈ પક્ષ તરફથી આમંત્રણ મળ્યું, પરંતુ પક્ષમાં થઈ રહેલો અન્યાય હવે સહન ન થતા તેમણે બહાર આવવાનો નિર્ણય લીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસમાં ન ચાલ્યા હોય અને ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયા છે અને આ લોકો લાલચ સિવાય બીજું કંઈ જોતા નથી. ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છે​ધીરુભાઈ ગોહિલના મતે આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને અરવિંદ કેજરીવાલના શિક્ષણ-આરોગ્યના મુદ્દાઓ કદાચ સારા હોઈ શકે, પરંતુ ગુજરાત પ્રદેશમાં ઈશુદાન ગઢવી અને તેમની નીચેની ટીમ એક નંબરના 'ચોર ચપાટા' અને 'લુચ્ચા' માણસોનું સંગઠન છે. તેમણે જનતાને અપીલ કરી છે કે, આવા લુચ્ચા-લફંગાઓની સરકાર ન રચાવી જોઈએ અને ચૂંટણીમાં ઉમેદવારની ચકાસણી કરીને જ મતદાન કરવું જોઈએ. આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ફ્લોપ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, આવનારા સમયમાં તેઓ વીડિયો જાહેર કરીને પક્ષની વધુ પોલ ખોલશે. પક્ષના પાયાના કાર્યકર્તાઓને ફોન કરીને પૂછશો તો ખબર પડશે કે દરેક સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. અંતમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છે અને તેમણે શેર કરેલા મેસેજને એક-એક માણસ સુધી પહોંચાડી જનતાને જાગૃત થવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં મજબૂર થઈને ફરી ભાજપના વખાણ ન કરવા પડે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:54 pm

ગીર સોમનાથમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત:કેટરિંગ ઉદ્યોગ સંકટમાં, એસોસિએશને સરકારને રજૂઆત કરી

ગીર સોમનાથ જિલ્લામાં કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમનાથ કેટરિંગ એસોસિએશને જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલન જોશીની આગેવાની હેઠળ, કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા આગેવાનો અને કામદારોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં વર્તમાન વિકટ સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે કેટરિંગ વ્યવસાય વર્ષ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે, અંદાજે ૧૨૦ થી ૧૪૦ દિવસ, સક્રિય રહે છે. આ ટૂંકા ગાળા દરમિયાન હજારો અકુશળ અને આર્થિક રીતે પછાત પરિવારોને રોજગારી મળે છે, જેમના ભરણપોષણનો આધાર આ વ્યવસાય પર રહેલો છે. જોકે, હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે કેટરિંગ વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયો છે. ગેસના અભાવે ઓર્ડરો રદ થઈ રહ્યા છે અને અનેક કામદારોને કામ વગર ઘરે બેસવાની ફરજ પડી રહી છે. એસોસિએશને વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ પરિસ્થિતિએ અમને અને અમારી સાથે જોડાયેલા પરિવારોને રાતોરાત આર્થિક સંકટમાં ધકેલી દીધા છે.” એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે અન્ય સંસ્થાઓ માટે જે ઉદારતા દાખવી છે, તેવી જ સંવેદનશીલતા સાથે કેટરિંગ ઉદ્યોગ માટે પણ તાત્કાલિક ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવો, ખાસ ક્વોટા ફાળવવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે. અંતમાં, જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને કરેલી આ રજૂઆતમાં એસોસિએશને વિનંતી કરી છે કે આ આપાતકાલીન સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. આનાથી કેટરિંગ વ્યવસાય ફરી ગતિ પકડી શકશે અને હજારો પરિવારોનું જીવનચક્ર ફરી સ્થિર થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:47 pm

સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મેનીફેસ્ટો જાહેર કર્યો:શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા પર ભાર, યુવાનો માટે લાઇબ્રેરી

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા પોતાનો મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનીફેસ્ટોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં એક પ્રાથમિક શાળા અને દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાના નિર્માણનું વચન આપ્યું છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે દરેક વોર્ડમાં લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે, મેનીફેસ્ટોમાં દરેક વોર્ડ દીઠ એક આરોગ્ય કેન્દ્ર બનાવવાનો પ્રસ્તાવ છે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, સુરક્ષિત અને એસી હોસ્ટેલના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, કોંગ્રેસે દરેક ઝોનમાં મલ્ટી-સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની પણ યોજના રજૂ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ મેનીફેસ્ટોની વિગતો જાહેર કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:40 pm

મસીતીયા ગામેથી એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો:મધ્યપ્રદેશના સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ કરી

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કાર્યરત હતી. પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમને બાતમીદારો દ્વારા સચોટ માહિતી મળી હતી. LCB સ્ટાફના કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલી સંયુક્ત હકીકતના આધારે મસીતીયા ગામે દરગાહ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન બસીરભાઈ ઉર્ફે બસલો સિદીકભાઈ જુસબભાઈ મેકાણી (રહે. મસીતીયા ગામ, કમરૂદીન નગર) નામના શખ્સને ₹૧૦,૦૦૦ ની કિંમતના લાયસન્સ વગરના દેશી તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ હથિયાર મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના મનોજ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હવે મનોજને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને તેના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદે ફરિયાદ નોંધાવતા, એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતર દ્વારા હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:38 pm

સુરેન્દ્રનગર AAPમાં ભંગાણ, મહિલા કાર્યકરોના રાજીનામા:મનપાની યાદી જાહેર થતાં માધવી રાજપૂત સહિત અનેક નારાજ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક ભંગાણ સર્જાયું છે. પક્ષના સક્રિય મહિલા કાર્યકર માધવી રાજપૂત સહિત અનેક મહિલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લામાં AAP માટે મુશ્કેલીઓ વધી રહી છે. મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પક્ષમાં અસંતોષ સપાટી પર આવ્યો છે, જેના કારણે પક્ષના સંગઠનમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ છે. માધવી રાજપૂત, જેઓ સુરેન્દ્રનગરમાં AAP ના સક્રિય ચહેરા તરીકે જાણીતા હતા, તેમણે અન્ય મહિલા કાર્યકરો સાથે પક્ષ છોડ્યો છે. રાજીનામા આપનાર કાર્યકરોનો આરોપ છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાયાના અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વધુ રાજીનામા પડવાની શક્યતા છે. પક્ષના ટોચના નેતાઓ હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાર્યકરોની નારાજગી જોતા ડેમેજ કંટ્રોલ મુશ્કેલ જણાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તાર મનાય છે. AAP માં થયેલા આ ભંગાણનો સીધો ફાયદો ભાજપ કે કોંગ્રેસને મળી શકે છે. સ્થાનિક સ્તરે સક્રિય કાર્યકરો પક્ષ છોડી રહ્યા હોવાથી ચૂંટણી પ્રચાર અને બૂથ મેનેજમેન્ટ પર તેની મોટી અસર પડવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:37 pm

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકા માટે મલ્ટીચોઈસ EVMથી મતદાન, તંત્ર સજ્જ

વલસાડ જિલ્લામાં પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે જિલ્લા સ્તરે ડાયરેક્ટર DRDA ને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આચારસંહિતાના ભંગને રોકવા માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી (TDO) ને જવાબદારી સોંપાઈ છે. શહેરી વિસ્તારોમાં, વાપી કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (Dy.MC) અને ઉમરગામ નગરપાલિકામાં ચીફ ઓફિસર (CO) ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત કુલ ૧૨૩૩ મતદાન મથકો પર ૧૦.૩૦ લાખ મતદારો મતદાન કરશે. તમામ મતદાન મથકો પર હવા-ઉજાસ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૮ હજારથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે, દરેક તાલુકા અને નગરપાલિકાના અધિકારીઓ દરરોજ સાંજે પોતાનો રિપોર્ટ ડાયરેક્ટર DRDA ને સુપરત કરશે. આ અહેવાલ ત્યાંથી DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) અને અંતે રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવશે. આ ચૂંટણીની એક મુખ્ય વિશેષતા એ છે કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મલ્ટીચોઈસ EVM નો ઉપયોગ કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારો વોર્ડમાં વહેંચાયેલા હોય છે, જ્યાં મતદારોએ દરેક વોર્ડમાંથી ચાર ઉમેદવારો માટે એકસાથે ચાર મત આપવાના રહેશે. આ પ્રક્રિયા સમજાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ ૧૦.૨૦ લાખથી વધુ મતદારો નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને મહત્તમ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:36 pm

ચીખલીની વિન્ડસન કંપનીમાં શ્રમિકનું મોત:ટેન્કર વેલ્ડિંગ દરમિયાન અકસ્માત, પરિવારનો મેનેજમેન્ટ સામે હોબાળો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના વેલ્ડિંગ કામ દરમિયાન એક શ્રમિકનું મોત થયું હતું. ઘટના બાદ કંપનીના જવાબદાર અધિકારીઓ શ્રમિકની લાશને હોસ્પિટલ મૂકીને ફરાર થઈ ગયા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીમાં સુરક્ષા સાધનો કે સાવચેતી વગર ટેન્કરનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક રાજેશ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કંપનીના કર્મચારીઓ રાજેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યાના કલાક બાદ પણ કંપનીનો કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર નહોતો. મૃતકના ભાઈ મિતેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મારા ભાઈની લાશ ત્યાં બિનવારસી હાલતમાં પડી હતી. મેનેજર કે માલિક કોઈ ત્યાં હાજર નહોતું. પરિવારજનોએ કંપની મેનેજમેન્ટ અને સેફ્ટી ઓફિસર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સુપરવાઈઝર દ્વારા કોઈ પણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકને જોખમી કામમાં લગાડવામાં આવ્યો હોવાથી આ દુર્ઘટના બની હોવાનું મનાય છે. હાલમાં પરિવારજનો કંપનીના માલિક અને મેનેજર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અડગ છે. બનાવની ગંભીરતાને જોતા ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કંપનીમાં સુરક્ષાના ધોરણો જળવાયા હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે તપાસ બાદ જે પણ જવાબદાર હશે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. કંપની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી કે સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે આ મામલે ચીખલીના પીઆઈ પી બી પટેલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તો અકસ્માત મોત મામલે તપાસ શરૂ છે તપાસ કરતા જો કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરશો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:35 pm

GJEPC દ્વારા 'ઈન્ડિયા રફ ડાયમંડ શો'નો પ્રારંભ:રફ હીરા માટે એન્ટવર્પ કે દુબઈ નહીં, હવે સુરતમાં જ મળશે ગ્લોબલ સપ્લાય; ડાયમંડ બુર્સ ખાતે 35 દિવસીય રફ ડાયમંડ શો

સુરત, જે વિશ્વના 90%થી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે, તે હવે વૈશ્વિક ટ્રેડિંગ હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (SIDC) દ્વારા સંયુક્ત રીતે 'ઈન્ડિયા રફ ડાયમંડ શો' (IRDS) લોન્ચ કરવામાં આવ્યો છે. આ શો વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ, સુરત ડાયમંડ બુર્સ (SDB) ખાતે 6 એપ્રિલથી 10 મે, 2026 સુધી ચાલશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક રફ હીરાના સપ્લાયને સીધો ભારતીય મેન્યુફેક્ચરર્સ સુધી પહોંચાડવાનો છે, જેથી ટ્રેડિંગ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટે. 1000 કરોડના રફ હીરાનું પ્રદર્શનઆ શો ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) હીરા ઉત્પાદકો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. અગાઉ, રફ હીરા ખરીદવા માટે વેપારીઓએ એન્ટવર્પ, દુબઈ કે તેલ અવીવ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર જવું પડતું હતું, જેનો ખર્ચ ઘણો વધારે રહેતો હતો. IRDS દ્વારા હવે સ્ટાર જેમ્સ અને કોઈન ઈન્ટરનેશનલ જેવી દિગ્ગજ ગ્લોબલ કંપનીઓ સુરતમાં જ રફ હીરાના ટેન્ડર ભરશે. અંદાજે 1000 કરોડ રૂપિયા (USD 100 મિલિયન) ના રફ હીરાનું અહીં પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારોની સ્પર્ધાત્મકતા વધારશે. GJEPC ચેરમેન કિરીટ ભણસાલીનું નિવેદનGJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ઈન્ડિયા રફ ડાયમંડ શો એ વૈશ્વિક સપ્લાયને ભારતના મેન્યુફેક્ચરિંગ બેઝની નજીક લાવવાનું એક નિર્ણાયક પગલું છે. દેશની અંદર જ પારદર્શક ટેન્ડરિંગ પ્લેટફોર્મ બનાવીને અમે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ આપી રહ્યા છીએ. આનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ખાસ કરીને MSME ક્ષેત્રના રત્નકલાકારો વધુ મજબૂત બનશે. આ પહેલ ભારતને માત્ર મેન્યુફેક્ચરિંગ લીડર જ નહીં, પણ ગ્લોબલ ટ્રેડિંગ હબ તરીકે પણ સ્થાપિત કરશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને ટર્નઅરાઉન્ડ સમયમાં સુધારો થશેગુજરાત GJEPCના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સવાણીયાએ ઉમેર્યું કે, સુરતમાં આ શો યોજવાથી હીરા ઉદ્યોગની કાર્યક્ષમતામાં મોટો ઉછાળો આવશે. રફ હીરાની સીધી ઉપલબ્ધતાને કારણે લોજિસ્ટિક્સ પાછળ થતો સમય અને નાણાં બંને બચશે. દર અઠવાડિયે 250 થી વધુ મેન્યુફેક્ચરર્સ આ પ્રક્રિયામાં ભાગ લેશે, જેનાથી આખા મહિના દરમિયાન 1000 થી વધુ એકમોને લાભ મળશે. આનાથી સ્થાનિક રત્નકલાકારોને સીધો માલ મળશે અને ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનશે, જે આખરે 'બ્રાન્ડ ઈન્ડિયા'ને મજબૂત કરશે. વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સુરતનું વર્ચસ્વ વધશેભારત હાલમાં વિશ્વના 90% રફ હીરા પર પ્રોસેસિંગ કરે છે, છતાં મોટાભાગનું ટ્રેડિંગ વિદેશી બજારોમાં થાય છે. IRDS આ સ્થિતિ બદલવા માટેનો એક વ્યૂહાત્મક હસ્તક્ષેપ છે. ડાયમંડ પેનલના કન્વીનર અનૂપ મહેતાના મતે, આ પ્લેટફોર્મ હીરાની ખરીદીમાં પારદર્શિતા લાવશે અને કિંમતોનું માળખું વ્યવસ્થિત કરશે. 1966માં સ્થપાયેલી GJEPC દ્વારા લેવાયેલું આ પગલું ભારતના હીરા ઉદ્યોગને સોર્સિંગથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની આખી 'વેલ્યુ ચેઈન'માં મોખરે લાવશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:32 pm

જામનગરમાં ગુજસીટોક હેઠળ 14 આરોપી 7 દિવસના રિમાન્ડ પર:બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો, પોલીસે 16 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 16 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફીની ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં સંગઠિત ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જામનગર પોલીસે બંને ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 46 ગુના અને અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 52 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. અસલમ કરીમભાઈ ખીલજી ગેંગના કુલ 18 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફીની ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે, જે પૈકી 8 આરોપીઓ હાલ જેલમાં છે અને એક આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે. ગઈકાલે ઝડપાયેલા કુલ 14 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, તમામને સાત દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:31 pm

મોરબીમાં 13 PIની આંતરિક બદલી:એસપી દ્વારા મોડી સાંજે આદેશ કરાયો

મોરબી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) દ્વારા મોડી સાંજે 13 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા PI તેમજ તાજેતરમાં જિલ્લામાં મુકાયેલા PI માટે કરવામાં આવી છે. બદલી કરાયેલા PI અને તેમની નવી નિમણૂકોવાય.બી. જાડેજા (લીવ રીઝર્વ)ને મોરબી એ ડિવિઝન, એન.એસ. ઘેટિયાને મોરબી તાલુકા, જે.ડી. સરવૈયાને મોરબી બી ડિવિઝન, જે.ડી. ઝાલાને ટંકારા, એસ.પી. જાડેજાને એલ.આઈ.બી. મોરબી, જે.એસ. ગામીતને લીવ રીઝર્વ, વાય.એસ. સિંધવને વાંકાનેર સિટી, ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખા, આર.સી. ગોહિલને એસઓજી-મોરબી. આ ઉપરાંત, એચ.વી. ઘેલાને મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન, એસ.કે. ચારેલને જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W મોરબી અને આર.એસ. પટેલને લીવ રીઝર્વ મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:28 pm

AMCની ચૂંટણીને લઈને કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર:ચૂંટણી જીત્યા બાદ 15 વાયદા પૂરા કરવા માટે નાગરિકોને કમિટમેન્ટ આપ્યું, 20 વર્ષ ટેક્સના પૈસાનો ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 90 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જનતાને આકર્ષવા માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15 જેટલા વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના શાસનમાં અલગ અલગ કામો આપીને કમલમ સુધી પૈસા પહોચાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયો હોવાનો દાવોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની શાસન છે. અનેક પ્રયાસ કરવા છતાં કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતી નથી. જેથી હવે મતદારોને આકર્ષવા માટે અને ફરી બેઠી થવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જનતાને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં નાગરિકો પાસે જઈને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. જેના આધારે નાગરિકોને 15 જેટલા વાયદા કરવા માટે વચન આપવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકોને પડેલી હાલાકી અંગે સૂચનો મંગાવાયા હતાપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને છેલ્લા 20 વર્ષમાં ભાજપની શાસન હોવા છતાં શું શું હાલાકીનો સામનો કરવો પડે છે એવા સૂચન માંગવામાં આવ્યા છે. જેથી નાગરિકો પાસેથી મળેલા સૂચનના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ વોર્ડમાં નાગરિકોના ઘર ઘર સુધી ગયા હતા. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને ફરી ગૌરવ અપાવવા માટે કામ કરવાનું પણ નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના ઉમેદવારો મેનિફેસ્ટોના આધારે નાગરિકોને મત માંગવા જશે. ટેકસની આવકનો પણ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથીવધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જુદી-જુદી બાબતોને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ જેનું ગૌરવ લે છે અને વિશ્વના મોટા-મોટા નેતાઓ આવે છે તે રિવરફ્રન્ટ કોંગ્રેસની દેન છે. તે સમય અને આ સમયમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. અત્યારે સરકાર પોતાની પાસે પાવર લઈ રહી છે. નાગરિક સમિતિઓ માત્ર કાગળ પર જ છે. તેમજ બહુમતી હોવા છતાં વિકાસની કામગીરીમાં કોઈ ભાગ ભજવતા નથી. ટેકસની આવકનો પણ યોગ્ય ઉપયોગ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથી. શહેરની સ્થિતિ ખૂબ કથળી રહી છે. લોકો ટેક્સ ભરે છે પરંતુ કોઈ સુવિધા તેમણે આપવામાં આવતી નથી. ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશુંનાગરિકો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી વાત લોકોએ કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનની ચૂંટણીથી સરકાર બનાવવાની નથી પરંતુ, અમારી સરકાર બન્યા બાદ અમદાવાદ કેવું હશે? તે વિચાર સાથે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમે ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશું. લોકોએ ખાડા જોયા, પાણી ભરાવવાની સમસ્યા જોઈ, નાગરિકોએ પીવાના પાણીની સમસ્યા જોઈ જે પૂરું કરવામાં આવતી નથી. જાહેરાત કરવા કરતા જાહેર હિતની વાત કરવામાં આવે તેવું અમે કહીએ છીએ. શહેરમાં ડિમોલિશન કરવામાં આવે છે છતાં નાગરિકો સાથે ભેદભાવ રાખીને તેમને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશુંમેનિફેસ્ટોની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોની જે અપેક્ષા છે તે અમે પૂરી કરવા માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યું છે. દરરોજ લોકોને સુવિધા માટે આંદોલન કરવા પડે છે. રમત ગમતના મેદાનો પણ અત્યારે રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કમિટમેન્ટમાં પાયાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેકસમાં 18 ટકાથી 5 ટકા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તો તેનું બજેટ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પાસેથી કરવામાં આવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી તે કરવામાં ન આવે એવું અમે કરીશું. અમદાવાદને ફરીથી ગૌરવ પ્રાપ્ત થાય તે માટે અમે કામ કરીશું. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશું. અમદાવાદ શહેરને સારું શહેર બનાવવા માટે કામ કરીશું. તેમજ જન ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશુંઅમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકોને કામ આપવામાં આવે છે તે લોકો કમલમ સુધી ફંડ પહોંચાડે છે. બે મહિના સુધી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રતિભાવ માંગવામાં આવ્યા હતા. જેથી વ્યાપક સર્વે કરીને તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તમામ વોર્ડમાં નાગરિકો સાથે મળી હતી. જેથી તેમના કેવા કેવા પ્રશ્નો છે તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી તેના આધારે નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે?

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 9:01 pm

ગીર સોમનાથ પોલીસ તંત્રમાં મોટો ફેરફાર:જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા PIની નિમણૂક, 3ની આંતરિક બદલી કરી

રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કર્યા છે, જ્યારે 3 PI ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ ફેરફારોથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સશક્ત બનશે તેવી અપેક્ષા છે. અગાઉ થયેલી બદલીઓના કારણે ખાલી પડેલી જગ્યાઓ પર, લિવ રિઝર્વમાં રહેલા 9 PI ને તાત્કાલિક અસરથી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ નિમણૂકોથી પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને વહીવટી ગતિમાં વધારો થશે. નવા નિયુક્ત PI અને તેમની ફાળવણી: એન.વી. હરિયાણી: કોડીનાર પોલીસ સ્ટેશન એ.જી. જાદવ: સોમનાથ મંદિર સુરક્ષા એમ.એ. ઝણકાર: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વી.એલ. ગાગીયા: તાલાળા પોલીસ સ્ટેશન વાય.બી. રાણા: સોમનાથ મંદિર સુરક્ષા ડી.બી. ગઢવી: મહિલા પોલીસ સ્ટેશન જે.કે. મોરી: ઉના પોલીસ સ્ટેશન એમ.જી. વસાવા: સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કે.એ. ચાવડા: ગીર ગઢડા પોલીસ સ્ટેશન 3 PIની આંતરિક બદલી: જિલ્લા પોલીસ તંત્રમાં ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે: એમ.કે. વણારકા: કોડીનારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જે.જે. પરમાર: નવાબંદર મરીન પોલીસ સ્ટેશન એમ.જી. પટેલ: સોમનાથ મરીનથી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (સેકન્ડ PI તરીકે) સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આ ફેરફારોથી પોલીસ તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. ખાસ કરીને સોમનાથ મંદિર સુરક્ષા, મરીન વિસ્તાર અને સાયબર ક્રાઈમ જેવા સંવેદનશીલ વિભાગોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં વધતા પ્રવાસન અને ધાર્મિક પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ ફેરફારોને પરિણામે નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:50 pm

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણી બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે એક બેફામ ટેન્કર ચાલકે રિક્ષા, આઈસર અને એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતની વિગતો મુજબ, છાણી GSFC બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલી આ ઘટનામાં પહેલા રિક્ષાને જોરદાર ટક્કર વાગી હતી. ત્યારબાદ ટેન્કરે લાઈનમાં ઊભેલા આઈસર ટેમ્પો અને એક એક્ટિવા સવારને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ ભયાનક અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કિલોમીટરો સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:49 pm

શૈલેષ પરમાર-હિંમતસિંહ જૂથની ટિકિટો કેમ હોલ્ડ?:પ્રથમ યાદી જાહેર થતાં જ કોંગ્રેસમાં ચેક-મેટનો ખેલ શરૂ; ચાવડા, મેવાણી, ઈન્દ્રવિજય ને ભરતસિંહનો ચક્રવ્યૂહ ભેદી શકશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસે ગઇકાલે(5 એપ્રિલ) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં અમદાવાદના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર-વડોદરાના 18-18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા છે. આ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસમાં શાંતિ જોવા મળી રહી છે, પરંતુ આ શાંતિ કોઈ મોટા રાજકીય યુદ્ધ પહેલાંની હોય તેવું લાગી રહ્યું છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વર્ષોથી અમદાવાદ કોર્પોરેશનમાં જેમનો સિક્કો ચાલતો હતો તેવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઘેરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ‘શિકારી ખુદ શિકાર હો ગયા’ આ ગણગણાટ હાલમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. તો આવો જાણીએ કે આખરે કોંગ્રેસમાં આ સ્થિતિ કેમ સર્જાઈ છે. ફરી એક વખત 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ની ચર્ચારાહુલ ગાંધીના 'લગ્નના ઘોડા અને રેસના ઘોડા'ના નિવેદનની ચર્ચા ગુજરાતના રાજકારણમાં થતી રહે છે. ત્યારે આ વખતે શું ખરેખરમાં કોંગ્રેસ લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ તારવીને કાર્યકરોને કોઈ મેસેજ આપવા જઈ રહી છે? આ એટલા માટે કંઇએ છીએ કારણ કે કોંગ્રેસના કદાવર નેતા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ઘેરાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠક4 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠકોનો દોર જામ્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારોને નક્કી કરવાના હતા. AICCના નવા બે સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવે રાજીવ ગાંધી ભવનમાં બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત પ્રદેશ કાર્યકારણીના લોકો હાજર રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલીઅમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારો નક્કી કરવાની આ બેઠક મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી. કાર્યકરોને આશાવાદ હતો કે બીજા દિવસે સવારે એટલે કે 5 એપ્રિલે ઉમેદવારોનું લિસ્ટ આવશે. પણ સવાર ને પછી બપોર ને પછી જાણવા મળ્યું કે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. રાત્રે 8 વાગ્યાની આસપાસ પ્રથમ યાદી જાહેર થઈપણ આ સમય પણ પસાર થઈ ગયો. દાવેદારો, કાર્યકરો ટેન્શનમાં આવ્યા કે આખરે યાદી અટકી છે ક્યાં? ત્યાં રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી. યાદી જાહેર થતાંની સાથે જ કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ અને થોડી જ વારમાં ગણગણાટ જોવા મળ્યો. ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ વચ્ચે કાર્યકરોના મોઢે એ પણ સાંભળવા મળ્યું કે આખરે આ યાદીમાં ચાલ્યું કોનું? યાદીનું એનાલિસિસ અને કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આમ તો પ્રથમ યાદી બેલેન્સ છે અને દરેકને સાચવી લેવાયા છે અને તેનું પરિણામ એ પણ છે કે યાદી જાહેર થયાના 24 કલાક જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી કોઈ એવો મોટો વિરોધ વંટોળ જોવા મળ્યો નથી. આ બધા વચ્ચે એક વાત જાણવા મળી અને તે ખૂબજ ચોંકાવનારી હતી. અને તે વાત હતી કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા એવા શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની... શૈલેષ પરમાર-હિંમતસિંહ પર નકેલ કસાઈ?કહેવાય છે કે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની તૂતી બોલે છે. કોંગ્રેસના જે પણ કોર્પોરેટરો જીતીને આવે છે તે મોટાભાગે આ બે નેતાના વિધાનસભા વિસ્તારમાંથી જ જીતીને આવે છે. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ જીવંત છે અને તેમાં પણ શૈલેષ પરમાર અને હિંમતસિંહના વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. કોંગ્રેસના 90 ટકા કોર્પોરેટરો આ બંને નેતાના વિધાનસભા વિસ્તાર અથવા તો તેની આસપાસના વિસ્તારમાંથી જીતીને આવે છે. પણ આ વખતે ક્યાંક આ બંને દિગ્ગજો પર નકેલ કસાઈ હોવાની માહિતી કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળી રહી છે. તો આવો જાણીએ કોંગ્રેસની પ્રથમ યાદીની ઈન્સાઈડ સ્ટોરી... પ્રથમ યાદીમાં છૂપાયેલા છે કેટલાક પેચસામાન્ય રીતે કોંગ્રેસમાં અમદાવાદ કોર્પોરેશનની જેટલી પણ યાદી જાહેર થાય તે યાદીમાં સામાન્ય રીતે શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ જૂથની મોટાભાગની ટિકિટ પ્રથમ યાદીમાં જ જાહેર થઈ જાય છે, પરંતુ આ વખતેની યાદીમાં સ્થિતિ કઇંક અલગ જોવા મળી રહી છે. શૈલેષ પરમાર-હિંમતસિંહના ખાસ માણસોના નામ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધાકોંગ્રેસની અમદાવાદની પ્રથમ યાદીમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહના ખાસ માણસોના નામ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ‘હોલ્ડ’ પર મૂકી દીધા છે. જે એ વાતનો સંકેત છે કે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં ‘SOMETHING IS WRONG’. તો આવો હવે એ જાણીએ કે અમદાવાદ કોર્પોરેશનની કંઈ બેઠક અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરી છે અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે? આ જાણતા પહેલાં સૌપ્રથમ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોના આંતરિક રાજકારણ વિશે જાણી લઇએ. સામાન્ય રીતે અમદાવાદ કોર્પોરેશનમાં શૈલેષ પરમારનો દબદબો છે પણ હિંમતસિંહ પણ શૈલેષ પરમારથી કોઈ કમ નથી. કોર્પોરેશનમાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પોત-પોતાના માણસોને ‘વ્યવસ્થિત’ રીતે સાચવી લે છે, સાથે જ અન્ય બેઠકો પર પણ પોતાના માણસોની ગોઠવણ કરી લે છે. અહીં એક વાત ચોક્કસથી કરવી પડે કે આ બંને નેતાઓએ આપેલી ટિકિટોમાંથી મોટાભાગે તેઓ કોંગ્રેસને એકાદ કિસ્સાને બાદ કરતા જીતાડી પણ દે છે અને અમદાવાદમાં કોંગ્રેસને જીવંત રાખે છે. અમિત ચાવડાએ ‘હોલ્ડ’ કરેલી બેઠક અને કંઈ બેઠક પર પેંચ ફસાયો છે તે જાણીએ…ગોમતીપુરમાં ચાવડાએ પેરાશૂટ ઉમેદવાર મૂકી નાક દબાવ્યુંગોમતીપુર વોર્ડ શૈલેષ પરમારના પિતા મનુભાઈના સમયથી પરમાર પરિવાર માટે ખાસ રહ્યો છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમારે હંમેશા પોતાના અંગત માણસોને જ ટિકિટ અપાવી છે અને તેમણે જીતાડ્યા પણ છે. ગોમતીપુર વોર્ડમાં શૈલેષ પરમાર આ વખતે નીતિન દલસાણિયાને ટિકિટ આપવા માગે છે. આ દાવેદાર શૈલેષ પરમારના એકદમ વિશ્વાસુ એવા બાબુ દલસાણિયાના પુત્ર છે.બાબુ દલસાણિયાનું તાજેતરમાં જ અવસાન થયું છે. ગોમતીપુરમાં ચાવડા ‘પેરાશૂટ’ ઉમેદવારના પક્ષમાંઆ બેઠક પર અમિત ચાવડાએ હિતેશ પરમાર નામના પેરાશૂટ ઉમેદવારને ઉતારી શૈલેષ પરમારને ઉંઘતા ઝડપી લીધા છે. પેરાશૂટ એટલા માટે કેમ કે તેઓ વર્ષ 2015માં NCPમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હારી ગયા હતા. અને જો તેઓ ટિકિટ લઈને આવે તો ગોમતીપુર વોર્ડમાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળે તેમ છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો પણ રેસમાંપરમાર માટે અહીં માત્ર હિતેશ પરમાર જ નહીં પણ તેમના પોતાના અંગત કાર્યકરો પણ ટેન્શન ઉભું કરી રહ્યા છે. કોંગ્રેસના જૂના 10 મજબૂત કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી પણ એક સંપ થઈને પોતાનામાંથી કોઈ એકને ટિકિટ મળે તે માટે શેલૈષ પરમાર સાથે સતત બેઠકો કરી દબાણ લાવી રહ્યા છે. આ બધા વિવાદ વચ્ચે ગોમતીપુર વોર્ડમાંથી એક પણ ટિકિટ જાહેર થઈ શકી નથી. ઈન્ડિયા કોલોની વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરની પત્નીની ટિકિટ ફસાઈશૈલેષ પરમારના અન્ય એક ખાસ માણસ એવા પૂર્વ કોર્પોરેટર યશવંત યોગીના પત્ની પ્રેમિલાબેનની ટિકિટ પણ હોલ્ડ પર છે. પ્રેમિલાબેન યોગીએ આ વખતે ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી દાવેદારી કરી છે અને તેમને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે પણ ઈન્ડિયા કોલોની વોર્ડમાંથી બે ટિકિટની જાહેરાત થઈ છે અને પ્રેમિલાબેનની ટિકિટ હોલ્ડ પર જતી રહી છે. દાણીલીમડામાં એક જ નામ જાહેર થયુંહવે વાત કરીએ શૈલેષ પરમારના વોર્ડ એવા દાણીલીમડાની...અહીં પણ શૈલેષ પરમારે આખી પેનલના નામ આપી દીધા, પરંતુ શહેઝાદ ખાન પઠાણ સિવાય કોઈનું પણ નામ જાહેર થયુ નથી. શૈલેષ પરમારની પસંદ મનોજ રેવરઅહીં એસસી અનામત બેઠક પર મનોજ રેવર અને ડી.કે.સોલંકી વચ્ચે અંતિમ ઘડીની ફાઇટ ચાલી રહી છે. ડી.કે.સોલંકી કોંગ્રેસના જૂના કાર્યકર અને જૂના જોગી છે. જો કે શૈલેષ પરમારની પસંદ મનોજ રેવર હોવાથી તેમની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે. કમળા ચાવડા-તસ્લીમ તીરમીઝીની ટિકિટ માટે ભરતસિંહનું ‘કમિટમેન્ટ’શૈલેષ પરમાર અમદાવાદ કોર્પોરેશનમાં તેમના જૂથના વિરોધી જૂથના પૂર્વ કોર્પોરેટર એવા રાજશ્રી કેસરી(ચાંદખેડા) અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝી(બહેરામપુરા)ની ટિકિટની વિરુદ્ધમાં છે, જેમાં રાજશ્રી કેસરીની ટિકિટ પહેલા લિસ્ટમાં જાહેર થઈ ગઈ છે અને કમળા ચાવડા-તસ્લીમ આલમ તીરમીઝીની ટિકિટ માટે અમિત ચાવડા-ભરતસિંહ સોલંકીનું ‘કમિટમેન્ટ’ છે એટલે અહીં પણ પેચ ફસાયો છે. હવે એ જાણીએ કે હિંમતસિંહના ખાસ માણસોની ટિકિટ કેમ હોલ્ડ પર? ભાવેશ ગુર્જરનું નામ ‘હોલ્ડ’હિંમતસિંહ અમરાઈવાડી વોર્ડમાં ભાવેશ ગુર્જરને ટિકિટ અપાવવા માગે છે. અમરાઈવાડી વોર્ડ સમિતિ પણ ભાવેશ ગુર્જરની તરફેણમાં છે. પ્રથમ યાદીમાં 4માંથી 3 નામ જાહેર કરી માત્ર ભાવેશ ગુર્જરનું નામ અમિત ચાવડાએ હોલ્ડ પર મૂકી દીધું છે. સાથે જ અમિત ચાવડા જ્ઞાનપ્રકાશ તિવારીના નામની વિચારણા કરવા પણ કહી રહ્યા છે. પક્ષપલ્ટુ દિનેશ શર્માના માણસ માટે બાપુનગરમાં પેચ ફસાયોબાપુનગર વોર્ડમાં પણ જયમન શર્માના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જયમન શર્મા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દિનેશ શર્મા જૂથના છે. અહીં હિંમતસિંહ જયમન શર્મા સિવાય અન્ય કોઈ પણ નામ સ્વીકારવા તૈયાર છે તેમ છતાં બાપુનગર વોર્ડની તમામ બેઠકને હોલ્ડ કરી દેવાઈ છે. ઝુલ્ફિકારને ગોમતીપુરથી સરસપુરમાં શિફ્ટ કરવા છેસરસપુર વોર્ડમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વોર્ડમાં શૈલેષ પરમાર ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર અને વિરોધી જૂથના ઝુલ્ફિકારખાન તૌફિકખાન પઠાણને ગોમતીપુરથી ખસેડી ચૂંટણી લડાવવા માંગે છે,જેથી તેમના ખાસ ગણાતા એવા સાજીદ ખત્રીને ટિકિટ આપી શકે. આ સમીકરણથી ઝુલ્ફિકારખાન પણ નારાજ છે. તો બીજી તરફ હિંમતસિંહ પોતાના ખાસ નવાઝ શેખને ટિકિટ અપાવવા માંગતા હોવાથી સરસપુર વોર્ડમાં પણ પેચ ફસાયેલો છે. આ બધી માથાકૂટોથી કંટાળીને જ ઈકબાલ શેખે કોંગ્રેસ છોડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેવાણી-ઈન્દ્રવિજય ગોહિલ જૂથના નામ લિસ્ટમાંજીગ્નેશ મેવાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ડાર્ક હોર્સની જેમ ઉભરી રહ્યા છે. મેવાણી પણ અમદાવાદમાં 5-7 ટિકિટ માટે જબરદસ્ત લોબિંગ કરી રહ્યા છે. જેમાં પહેલી યાદીમાં રાગીન બેંકર સહિતના નામ આવી ગયા છે અને ચાંદખેડામાં સુબોધ કુમુદ સહિતના અન્ય વોર્ડમાં ટિકિટનું લોબિંગ કરી રહ્યા છે. તો ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલના પણ ચેતના ગૌરાંગ રાઠોડ, ગૌરાંગ મકવાણા, તિલકરામ તિવારી સહિતના નામો પહેલી યાદીમાં આવી ગયા છે અને અન્ય નામો માટે લોબિંગ ચાલી રહ્યું છે. સાથે જ લાલજી દેસાઈ પણ કેટલીક ટિકિટો માટે લોબિંગ કરતો જોવા મળી રહ્યા છે. બે દિગ્ગજોને ચારે બાજુથી ઘેર્યાકોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક તરફ ભરતસિંહ, અમિત ચાવડા, મેવાણી, લાલજી દેસાઈ, ઈન્દ્રવિજ્યસિંહ ગોહિલ છે તો બીજી તરફ અલગ અલગ થઈને શેલૈષ પરમાર અને હિંમતસિંહ પટેલ પોત-પોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શૈલેષ પરમાર-હિંમતસિંહ જોડે હાર્ડ બાર્ગેનિંગ થશેકોંગ્રેસનું એક જૂથ એવું માની રહ્યું છે કે આ વખતે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલનું બહુ કંઈ ખાસ ઉપજશે નહીં, પહેલી યાદીમાં તેમના ખાસ માણસોની ટિકિટ હોલ્ડ પર મૂકી વિરોધી જૂથે તેમનું નાક દબાવી દીધું છે. હવે શૈલેષ પરમાર અને હિંમતસિંહ જોડે બહુ હાર્ડ બાર્ગેનિંગ કરવામાં આવશે, જેમાં તેમના ખાસ અનેક માણસો કપાય જશે. જેની અસર અમદાવાદ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાના પદ પર પણ પડશે. આખરે ધાર્યું તો ધણીનું જ થશેતો બીજી તરફ અન્ય જૂથ એવું માની રહ્યુ છે કે કોંગ્રેસને પૂર્વમાં માત્ર ને માત્ર શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે જ જીવતી રાખી છે. શૈલેષ પરમારના પિતા દિગ્ગજ કોંગ્રેસી નેતા હતા અને શૈલેષ પરમાર પણ દિલ્હી સુધી સંપર્ક ધરાવે છે. તો હિંમતસિંહ પટેલ પણ દિલ્હીના ઘણા સિનિયર નેતાઓ સાથે ડાયરેક્ટ ટચમાં છે અને સારો એવો ઘરોબો ધરાવે છે. જેથી પ્રદેશ લેવલેથી થોડું ઘણુ હેરાન કરાશે પણ આખરે ‘ધાર્યું તો ધણીનું જ થશે’

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:31 pm

રાજકોટમાં મનપા ચૂંટણી પૂર્વે ગરમાવો:મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત, ભાજપના ઈશારે ગેરરીતિનો લગાવ્યો આરોપ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના રાજકીય વાતાવરણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. આજે કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા અને મકબુલ દાઉદાણી દ્વારા જિલ્લા કલેક્ટરને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના ઈશારે મતદાર યાદીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને જે લોકો સંબંધિત વિસ્તારમાં વસવાટ પણ નથી કરતા, તેમના નામ યાદીમાં ઘુસાડી દેવામાં આવ્યા છે. મકબુલ દાઉદાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં જે જ્ઞાતિના લોકો છેલ્લા 20 વર્ષથી રહેતા જ નથી, તેવા આશરે 400 જેટલા લોકોના નામ છેલ્લી ઘડીએ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. અત્યાર સુધીની એકપણ યાદીમાં આ નામો નહોતા, તો અચાનક આખરી યાદીમાં આ નામો ક્યાંથી આવ્યા? આ વિસ્તારમાં લઘુમતી સમાજની બહુમતી છે, ત્યારે અન્ય સમાજના મતદારોના નામ ઉમેરવા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે ચૂંટણી દરમિયાન ભયનું વાતાવરણ ફેલાવવા અને પરિણામોને પ્રભાવિત કરવા માટે સત્તાધારી પક્ષ દ્વારા આ પ્રકારની અયોગ્ય પ્રક્રિયા કરવામાં આવી છે. તેમણે કલેક્ટર પાસે માંગ કરી છે કે આ મામલે તટસ્થ અને સ્થળ તપાસ કરવામાં આવે, જેથી ખબર પડે કે આ લોકો ખરેખર ત્યાં રહે છે કે નહીં. ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં ગેરરીતિનાં કોંગ્રેસના આવા આરોપો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે કલેક્ટર તંત્રની તપાસમાં શુ હકીકત સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. રાજકોટમાં ચૂંટણી પ્રચારનાં બોર્ડ હટાવવા મુદ્દે 'આપ'ના ઉમેદવાર અને મનપા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી રાજકોટમાં આચારસંહિતાના અમલીકરણ દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના ઉમેદવાર રાહુલ ભુવા અને મનપાના વિજિલન્સ વિભાગના કર્મચારીઓ વચ્ચે તીખી તકરાર થતાં મામલો ગરમાયો હતો. શહેરના દબાણ હટાવ શાખાના કર્મચારીઓ જ્યારે આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારના બોર્ડ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે રાહુલ ભુવા સહિતના કાર્યકરોએ વિજિલન્સ ટીમ પર આક્રોશ વ્યક્ત કરી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન ઉમેદવારે મનપાના કર્મચારીને ધમકાવતા 'તમે ઓળખો છો હું કોણ છું?' તેવા શબ્દો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ઘટના અંગે મનપાના અધિકારી કેપ્ટન બારીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો આચારસંહિતા જાહેર થઈ ત્યારનો છે. નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. જેને લઈ સરકારી કામગીરીમાં રૂકાવટ અને ધમકી આપવાના આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી પણ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરવાનેદાર હથિયાર ધારકોને હથિયાર જમા કરાવવા સૂચના સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય અને સમગ્ર જીલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે હુકમો જારી કર્યા છે. હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્‍ટેશનોએ જીલ્‍લા મેજીસ્‍ટ્રેટની કચેરીને જાણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો તા.30 એપ્રિલ પછી પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન રાજકોટ જીલ્‍લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. જીલ્‍લાના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચૂંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા પણ કલેકટર દ્વારા જણાવાયુ છે. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. મોબાઇલ દ્વારા બલ્ક SMS વડે અફવા ફેલાવવા પર પ્રતિબંધ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન અન્વયે રાજકિય પક્ષો, ઉમેદવારો તેમજ ઉમેદવારોના ચૂંટણી એજન્ટો દ્વારા સંભવતઃ કરાનારા વાંધાજનક એસ.એમ.એસ. દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન થાય તેમજ ચૂંટણી શાંતિ પૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. જેમાં મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વોડાફોન - આઇડીયા (વી.આઈ),બી.એસ.એન.એલ.,રીલાયન્સ (જીઓ), એરટેલ જેવી કંપનીઓ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા રાજયચુંટણી પંચ દ્વારા બહાર પડવામાં આવેલા આદેશો/સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુકત અને ન્યાયિક ચુંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરવા તથા રાજકિય પ્રકારના તેવા ગ્રૃપ/બલ્કએસ.એમ.એસ. પ્રસારીત કરવા પર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાથી એટલે કે તા.24 થી 26 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મકાન, દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો, ચિત્રો પ્રદર્શિત કરવા પૂર્વ મંજૂરી જરૂરી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્‍કતને થતી હાનિ, બગાડ અટકાવવા માટે રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા નિયમો જારી કરવામાં આવ્યા છે. જેમાં કોઇ પણ વ્‍યકિત, સંસ્‍થા, ચુંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને જાહેર અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્‍કત ઉપર ચુંટણીલક્ષી પ્રચારપત્રો નહીં લગાવી શકાય. આ ઉપરાંત સુત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો ન બગાડવા, તેમજ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો પોતાના કાર્યકરનો ધ્‍વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સુત્રો લખવા અથવા અન્‍ય કોઇપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્‍કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પુર્વ પરવાનગી લેવી જરૂરી રહેશે. જાહેર મકાન એ શબ્‍દ પ્રયોગમાં મિલ્‍કત જેવી કે ધોરી માર્ગ, શેરી ગલી, ચારરસ્‍તા, ચાર રસ્‍તા પર માર્ગ દિશા બતાવાતા સાઇન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઇલ સ્‍ટોન, રેલ્‍વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ બોર્ડ, રેલ્‍વે પ્‍લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલમાં નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ અન્‍ય નોટીસ સાઇન બોર્ડનો સમાવેશ થાય છે. આ હુકમ તા.28 એપ્રિલ સુધી રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. સભા-સરઘસબંધીનો હૂકમ બહાર પાડવામાં આવ્યો સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.30 એપ્રિલ સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમ તા.30 એપ્રિલ સુધી રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવાની રહેશે રાજકોટ જિલ્લામાં ચૂંટણીમાં પ્રચાર માટે વપરાતા કોઇ પણ પ્રકારના વાહનોની સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે ફરજિયાતપણે નોંધણી કરાવવા રાજકોટ જિલ્‍લા મેજીસ્ટ્રેટ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મંજૂરી વાહનના વિન્ડસ્ક્રીન પર સ્પષ્‍ટપણે દેખાઇ આવે એ રીતે લગાડવાની રહેશે. ઉપયોગમાં લેવામાં આવેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ તા.28 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ રાજકોટ જિલ્‍લાના સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારને લાગુ પડશે.ચૂંટણી વિષયક સાહિત્યના મુદ્રણ માટે જાહેરનામું રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સાહિત્યના મુદ્રણ માટે અમલમાં મૂકવામાં આવેલ આદર્શ આચાર સંહિતા અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટે કરેલા આદેશો મુજબ કોઇપણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ માટે આવતી પત્રિકા, પોસ્ટર વિગેરેમાં પ્રિન્ટિંગ પ્રેસનું પૂરૂ નામ અને સરનામુ, મોબાઇલ નંબર અચૂક છાપવાના રહેશે. આવું સાહિત્ય છપાવવા માટે આવનાર વ્યક્તિએ અન્ય બે વ્યક્તિની ઓળખ આપીને છાપકામ કરાવવાનું રહેશે. આવા છાપકામની તેમજ એકરારપત્રની બે-બે નકલો મેજીસ્ટ્રેટ અને સબંધિત ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે. તા.30 એપ્રિલ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને લઇ જવા પર પાબંદી રાજકોટ જિલ્લામાં તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચુંટણીપંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો રજુ કરવાના સમયે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને ન લઇ જવા, તેમજ ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના 100 મીટરના વિસ્‍તારમાં ત્રણથી વધુ વાહનો ન લઇ જવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કરવામાં આવ્યા છે. તા.15 એપ્રિલ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ સમગ્ર રાજકોટ જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં લાગુ પડશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:25 pm

મોરબીમાં ભાજપ સ્થાપના દિવસે ટિકિટવાંછુકોની પાંખી હાજરી:ટિકિટ માંગનારા 1007 આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર

મોરબી જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ માંગનારા 1007 જેટલા આગેવાનોમાંથી મોટાભાગના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. 6 એપ્રિલે યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન બાબુ જેબલિયાએ સંભાળ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા, ગજેન્દ્ર સક્સેના, બ્રિજેશ મેરજા, હંસાબેન પારઘી અને રાઘવજી ગડારા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બાબુ જેબલિયાએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ટિકિટ કોઈ પણ કાર્યકર્તાને મળે, પરંતુ અંતિમ લક્ષ્ય માત્ર કમળને જીતાડવાનું હોવું જોઈએ. તેમણે ટિકિટ ન મળનારા કાર્યકર્તાઓને 'જોઈ લેશું' જેવા વલણ અપનાવવાને બદલે પક્ષના ઉમેદવાર સાથે જોડાઈને વિજય માટે કામ કરવા અપીલ કરી હતી. ભાજપની બે સાંસદથી લઈને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર સુધીની સફરને યાદ કરીને, પાયાના કાર્યકર્તાઓના બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના કાર્યકર્તાઓએ ભાજપ પરિવારને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની કુલ 255 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપ પાસેથી 1007 જેટલા આગેવાનોએ ટિકિટની માંગણી કરી છે. જોકે, સ્થાપના દિવસના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં ટિકિટવાંછુકોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. તેમ છતાં, હોલ ભરાઈ જતાં સ્થાનિક આગેવાનોએ રાહત અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:21 pm

લાકડાના ધોકા-છરી લઈને યુવક પર 4 શખ્સો તૂટી પડ્યા:ઝઘડામાં સમાધાન બાદ પણ મીઠા અગરના ખારમાં બોલાવીને મારમાર્યો, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

ભાવનગરના ક.પરા પોપટનગર વિસ્તારમાં એક યુવક સાથે રક્ષાબંધન દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં શખસોએ યુવકને પોપટનગરના મીઠાના અગરના ખારમાં બોલાવી લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે મામલે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીઠા અગરના ખારમાં બોલાવીને મારમાર્યોમળતી માહિતી મુજબ, ક.પરા પોપટનગર વિસ્તારમાં રહેતા રોનક શંકરભાઈ વાજા (ઉ.વ. 26)એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓને રક્ષાબંધનના તહેવારે મોહિત વાજા સાથે થયેલા જૂના ઝઘડાનું સમાધાન થઈ ગયું હતું. છતાં તેની દાઝ રાખીને ગઈકાલે(5 એપ્રિલ) સાંજે આશરે સાડા ચાર વાગ્યે મોહિત વાજાએ ફોન કરીને રોનકને પોપટનગર ખાતે રામાપીર મંદિર પાછળ આવેલા મીઠાના અગરના ખારમાં બોલાવ્યો હતો. લાકડાના ધોકા અને છરી લઈને યુવક પર તૂટી પડ્યારોનક ત્યાં મોટરસાયકલ પર પહોંચતા જ મોહિત વાજા, શંકર બારૈયા અને તેમના બે અજાણ્યા સાગરિતો હાજર હતાં. ત્યાં પહોંચતા ચારેય શખ્સોએ ગાળો બોલી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયને મોહિતે લાકડાના ધોકાથી હુમલો કર્યો, જ્યારે શંકરે છરી વડે માથા અને પીઠના ભાગે ઘા કર્યા, જેમાં પીઠમાં છરીના ચરકા પડી ગયા. અન્ય બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો અને ફરિયાદ નોંધાવીગંભીર ઇજાઓ વચ્ચે રોનકભાઈ દોડી પોતાનો બચાવ કરી મામાના ઘરે પહોંચ્યા અને ત્યારબાદ રોનકભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જે ફરિયાદના અનુસંધાને ગંગાજળિયા પોલીસે મોહિત વાજા, શંકર બારૈયા બન્ને હનુમાનનગર ભાવનગરના રહેવાસીઓ તેમજ બે અજણાયા માણસો વિરુદ્ધ BNS કલમ 118(1), 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:16 pm

પાલનપુર યુવા ભાજપે કુંડા વિતરણ કાર્યક્રમ યોજ્યો:ભાજપ સ્થાપના દિવસે બનાસ ગોળાઈ ખાતે આયોજન

પાલનપુર વિધાનસભા યુવા ભાજપ દ્વારા બનાસ ગોળાઈ ખાતે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ, 6 એપ્રિલના રોજ યોજાયો હતો. પક્ષની વિચારધારા અને સેવા ભાવનાને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુવા ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર શહેર પ્રમુખ જીગર માળી અને જિલ્લા યુવા ભાજપના મંત્રી રમેશ ચૌધરી સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:03 pm

ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં ઉમેદવારોમાં ઉત્સાહ:ગોધરા નગરપાલિકા માટે પ્રથમ દિવસે 156 ઉમેદવારી પત્રોનો ઉપાડ

ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ ૧૫૬ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો, જે દર્શાવે છે કે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થતાં જ ગોધરા પ્રાંત કચેરી ખાતે ભારે ચહલ-પહલ જોવા મળી હતી. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ ગોધરા પ્રાંત કચેરી ખાતેથી આ ફોર્મ મેળવ્યા હતા. પ્રથમ દિવસે ૧૫૬ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હોવાના આંકડા નોંધાયા છે. ગોધરા નગરપાલિકામાં કુલ ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો છે. પ્રથમ દિવસે ફોર્મ લેવા માટે થયેલો ધસારો જોતાં આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બને તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા વિધિવત ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 8:02 pm

દસાડા-શંખેશ્વર હાઇવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ:રૂ. 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનનો આરોપી પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઇવે રોડ પરથી દસાડા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,02,200નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે રેન્જ વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ખાસ એક્શન પ્લાન હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીએ જિલ્લામાંથી પ્રોહીબિશનની બદી નાબૂદ કરવા માટે ટીમો બનાવી હતી. આ અંતર્ગત, પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે, ગોપાલ હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ઉપરોક્ત ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ-162 મળી આવી હતી, જેની કિંમત રૂ. 97,200 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 3,00,000ની કિંમતની ગાડી અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે વનારામ અજમલરામ જાટ (ઉં.વ. 25, ધંધો-ડ્રાઇવિંગ, રહે. મોતિયોનિયો કા તલા, સાજટા, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. રેડિંગ પાર્ટીમાં પો.હેડ કોન્સ. વિજયસિંહ મહેન્દ્રસિંહ નકુમ, પો.કોન્સ. કમલેશ પોપટ વાઘેલા અને પો.કોન્સ. મુન્ના સામંત ગળીયાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:59 pm

ભાજપના કોર્પોરેટરની ફરિયાદ સામે આપનો આક્રમક મિજાજ:પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ સાથે કમિશનરને રજૂઆત, પોસ્ટર વોરથી સુરતનું રાજકારણ ગરમાયું

ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરતમાં ફરી એકવાર ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. AAPના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા સુરતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને કાર્યકરોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને આ FIRને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. શ્રવણ જોશી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતાઆ વિવાદની શરૂઆત સુરતના ગોડાદરા વિસ્તારથી થઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી છેલ્લા ચાર દિવસથી ગોડાદરા વિસ્તારમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેઓ હાથમાં પોસ્ટરો લઈને સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જનતાને અવગત કરી રહ્યા હતા. અમિત રાજપૂતે આક્ષેપ કરીને બદનક્ષીની ફરિયાદ નોંધાવી ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનો આક્ષેપ છે કે, શ્રવણ જોશીએ પ્રદર્શનમાં એવા પોસ્ટરોનો ઉપયોગ કર્યો હતો જેમાં કોર્પોરેટરનો ચહેરો દર્શાવવામાં આવ્યો હતો અને તેમની સામે ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતને પોતાની વ્યક્તિગત અને સામાજિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવી અમિત રાજપૂતે પોલીસમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. 'ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારથી ભાજપમાં ગભરાટ ફેલાયો'પોલીસ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટી રક્ષણાત્મક મોડમાં આવવાને બદલે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારથી આમ આદમી પાર્ટીએ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંભવિત ચૂંટણીઓ માટે 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી ભાજપના નેતાઓમાં ગભરાટ ફેલાયો છે. શ્રવણ જોશીની લોકપ્રિયતા અને તેઓ જે રીતે ભ્રષ્ટાચારના પુરાવા જનતા સમક્ષ મૂકી રહ્યા છે તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. 'ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ 'AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ગઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણીનું આયોજન થઈ ગયું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી, આચારસંહિતા લાગુ થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા, થોડાક ઉમેદવારો બાકી છે જે બે દિવસમાં અમે જાહેર કરી દઈશું. તેને વધુમાં કહ્યું કે, ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારો પૈકી અલગ-અલગ 75 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ છે. અમારા કેમ્પેનને એન-કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો કરી રહી છે અને એ કેમ્પેનો રોકવા માટે ભાજપ રીતસરનું પોલીસનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ તંત્રને આગળ કરી રહી છે. 'ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે...'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે કે હા, અમે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના કુશાસનથી, ભાજપની મોંઘવારીથી, ડ્રગ્સ-દારૂના વેપારથી, મોંઘા શિક્ષણથી અમે થાકી ગયા છીએ અને અમે આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીને જંગી લીડથી જીતાડવાના છીએ. 'અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ'ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, આ ભાજપને ખબર પડી ગઈ છે એટલે અમારા કેમ્પેનને રોકવા માટે પોલીસ તંત્રનો સહારો લઈ, પોલીસનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે, આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનના તમામ પદાધિકારી, સંગઠનના તમામ સાથીઓ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દરેક ઉમેદવારને આ લોકશાહીમાં પોતાનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. 'ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે'ભંડેરીએ વધુમાં કહ્યું કે, સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ એવું લોકતંત્ર માને છે અને દરેક વ્યક્તિનો આ અબાધિત અધિકાર છે અને એ અબાધિત અધિકારના કારણે અમે અમારો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવા માટેના સાહિત્યમાં જે સ્લોગનો છાપવામાં આવ્યા છે આ તમામે તમામ સ્લોગન છે ઓફિશિયલ જાહેરાત કરી અને અમે આને જાહેરાતમાં મૂક્યા છે, લોકો સુધી અમે આ વાત પહોંચાડી રહ્યા છીએ પણ ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે એટલે એમણે પોલીસ તંત્રને આગળ કરી અમારા ઉમેદવારને ડરાવવાના, ધમકાવવાના અને ખોટી ફરિયાદો કરી, ખોટી FIR દાખલ કરી અમને હેરાન કરવાના અને ડરાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે લોકશાહી માટે ઘાતક છે. એટલે અમે કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:58 pm

જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત:દારૂ ભરેલી કાર લઈને ભાગેલા બુટલેગરે બે બાઈક સવારને હડફેટે લીધા, એકનું મોત

સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને પોલીસ તેનો પીછો કરતી હોવાથી કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બે બાઈક સવારોને હડફેટે લીધા હતાં. અગાઉ ગઢડીયા ગામ નજીક એક બાઈક સવારને હડફેટે લીધા બાદ લોધિડા નજીક દિનેશભાઈને હડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજીડેમ પોલીસે દારૂ ભરેલી કારના ચાલકને ઝડપી કારની તલાસી લેતાં તેમાંથી 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર કબજે કરી કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નં.1માં રહેતો રહેમાન હનીફભાઈ નગરીયા (ઉ.વ.14) નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના આસપાસ જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નં.3માં બફ વર્કસ નામના કારખાને હતો ત્યારે ચાલુ લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રહેમાન બે ભાઈમાં નાનો અને ધો.8માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તે જંગલેશ્વરમાં ગોકુલનગરમાં આવેલા કાકા નાસીરભાઈના કારખાને આંટો મારવા ગયો ત્યારે અકસ્માતે ગુડઝ લીફટમાં ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. રૂ.6.50 લાખના ચેક રિટર્ન કેસમાં કીચનવેર ધંધાર્થી હર્ષિત સોજીત્રા જેલ હવાલે રાજકોટના વેરાવળ-શાપર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ફરીયાદી જેનીસભાઈ વિજયભાઈ રાદડીયા, ‘આર.ડી. એન્ટરપ્રાઈઝ’ના નામથી કિચનવેરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. આરોપી હર્ષિતભાઈ એમ. સોજીત્રા ‘ગજાનન એચ.એમ.એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરે છે. ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ કિચનવેરના માલની ખરીદી કરી હતી જેનું બાકી નીકળતું પેમેન્ટ રૂ.6,53,984 ચુકવવા માટે આરોપીએ પોતાની પેઢીના બે ચેક આપ્યા હતા. બન્ને ચેક રિટર્ન ફરિયાદ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે આરોપી હર્ષિત સોજીત્રાને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ 60 દિવસમાં ન ચુકવે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે સજાના હુકમ સામે આરોપીએ રાજકોટ સેશન્સ કોટમાં અપીલ દાખલ કરી હતી જે અપીલમાં પણ આરોપી સામે થયેલ સજાનો હુકમ કોર્ટે યથાવત રાખતા હર્ષિદભાઈ સોજીત્રાને સજા ભોગવવા જેલ હવાલે કર્યો છે. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ આર.સી.ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:55 pm

Editor’s View: યુદ્ધ જીતવા ટ્રમ્પ ભગવાન ભરોસે:ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન, ચીનની હોર્મુઝ ચાલ અને તોતિંગ વૉર બજેટ, ભારત પર ખતરાનું એનાલિસિસ

દોઢ ટ્રિલિયન ડોલર...આ આંકડો છે ઈરાન સામે યુદ્ધ લડવા માટે માટે ટ્રમ્પ અમેરિકા પાસે રૂપિયા માગી શકે તેનો. દોઢ ટ્રિલિયન ડોલરને સાદી રીતે સમજીએ તો આટલા રૂપિયાથી 3300 જેટલી સરદાર સાહેબની નવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી શકાય, 20 હજારવાર મંગળયાન મોકલી શકાય, 1200 નવા IIT અને 2700 નવા IIMના કેમ્પસ બનાવી શકાય. અધૂરામાં પૂરું ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એવી પોસ્ટ મૂકી છે જે કોઈ રાષ્ટ્રપતિ પદને શોભે જ નહીં. રોજના અંદાજે 16 હજાર રૂપિયાનો ખર્ચો કર્યા પછી ગોળી બાદ હવે ટ્રમ્પ ગાળો પર આવી ગયા છે. આટલું તો ઠીક હતું પણ હવે તો ભગવાન ભરોસે આવી ગયા છે. રવિવારે તેમણે અલ્લાહને યાદ કરી ઈરાનને નરકની ધમકી આપી, ઈસ્ટરના દિવસે ઈસુને પણ યાદ કર્યા. ટ્રમ્પનો આ આંધળો જુગાર હવે ખરા અર્થમાં બાઈબલના જજમેન્ટ ડે જેવો લાગી રહ્યો છે. ટ્રમ્પ જ્યારે યુદ્ધમાં ફસાયેલા છે ત્યારે પડદા પાછળ ચીન હોર્મુઝની ગલીમાં તેલની ચાવી આંચકવા બેઠું છે. એવામાં ખુદ અમેરિકાના નેતાઓ જ ટ્રમ્પને પાગલ કહી રહ્યા છે અને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. આ વાતથી આપણને શું અસર પડી શકે તેની વાત કરીએ તો સોનું-ચાંદી-પેટ્રોડ-ડીઝલ અને મોંઘવારીનો મારો ચલાવી શકે છે. ચાલો આજે રૂપિયાને ડોલર સામે 100ને પાર પહોંચાડી શકે તેવા યુદ્ધની વિગતવાર વાત કરીએ... નમસ્કાર... ગઈકાલે રવિવારની સાંજનો સમય હતો, દુનિયા ઈસ્ટરની શાંતિમાં હતું ને સાંજે સાડા પાંચ વાગ્યે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખી જેણે પેન્ટાગોનથી લઈને તહેરાન સુધીમાં ભૂકંપ લાવી દીધો. ટ્રમ્પે લખ્યું... ટ્રમ્પનું ઈરાનને ભયાકન અલ્ટીમેટમ આ કોરી ધમકી જ ન હતી પણ એક ક્રૂર અલ્ટીમેટમ હતું. 7 એપ્રિલને ટ્રમ્પે જજમેન્ટ ડે જાહેર કર્યો છે. અહીં એક જોવા જેવી વાત એ છે કે ઈરાને હોર્મુઝ ન ખોલ્યું તો ગોળીવાળા ટ્રમ્પ હવે ગાળો પર ઉતરી આવ્યા છે. છેલ્લે તેમણે અલ્લાહની વાત લખી તે એક પ્રકારનો કટાક્ષ હતો કે યુદ્ધ હવે સરહદ પૂરતું નથી હવે આ ધર્મ યુદ્ધ છે. ટ્રમ્પને ખબર છે કે ઈરાનને પાયમાલ કરવું હોય તો તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીના મથકો પર હુમલો કરવો જોઈએ એટલે ઈરાન ભીંસમાં આવીને યુદ્ધ પૂરું કરી દે. પણ આનાથી હજારો માસૂમ નાગરિકોના મોત થઈ શકે છે જેને યુદ્ધ સાથે કંઈ લેવાદેવા પણ નથી. ઈરાન યુદ્ધ વિશ્વ યુદ્ધનો સંકેત? આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ ભલે મેદાનમાં લડાય પણ તેની કિંમત જે તે દેશની તિજોરી અને સામાન્ય જનતાને ભોગવવી પડે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ યુદ્ધ લંબાવવા માટે આવનાર બજેટમાં 1.5 ટ્રિલિયન ડોલરનું ડિફેન્સ બજેટ માગી શકે છે. આ આંકડો કેટલો મોટો છે તે તો આપણે શરૂઆતમાં જ સમજી લીધું પણ તેને વધુ સારી રીતે સમજવા આપણે અમેરિકાની 31.4 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીને પણ સમજવી પડશે. અમેરિકાની જીડીપીના પાંચ ટકા જેટલો હિસ્સો જો ખાલી યુદ્ધ માટે જ ખર્ચવો પડે તો એક પ્રકારે આ આવનાર વર્લ્ડ વોરનો સંકેત પણ હોઈ શકે છે. ગાળો અને ગોળાનું ડેડલી કોમ્બિનેશન હવે આપણે સમજીએ કે ટ્રમ્પ 1.5 ટ્રિલિયન ડોલરનું શું કરશે. વાત એવી છે કે પાછલા ડિફેન્સ બજેટને કમ્પેર કરીએ તો આ 44 ટકાનો સીધો વધારો છે. આ રકમ એટલે ભારત જેવા દેશની કૂલ જીડીપીના ત્રીજા ભાગ જેટલી થઈ જાય. આ ડિફેન્સ બજેટથી ટ્રમ્પને અમેરિકાનું ગોલ્ડન ડોમ શિલ્ડ વધારવું છે. જેથી કરીને કોઈ મિસાઈલ તેના પર હુમલો કરે તો તેને હવામાં જ તોડી પાડી શકા. તેના માટે અબજો ડોલર ફાળવવામાં આવશે. 125 બિલિયન ડોલરના નવા હથિયારો ખરીદવામાં આવશે જેની રિસર્ચ અને ડેવલોપમેન્ટનો ખર્ચો અંદાજે 125 બિલિયન ડોલર માનવામાં આવી રહ્યો છે. યુદ્ધની ભારે કિંમત અમેરિકા ને દુનિયાને ચૂકવશે કહેવાય છે કે આ બજેટથી તેઓ અમેરિકાના સૈનિકોના પગારમાં 5-7 ટકાનો વધારો પણ કરી શકે છે. 65 બિલિયન ડોલરની નવી 34 બેટલ શીપ અને સબમરીન પણ લવાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પણ બજેટ તો છે તેટલું જ છે એટલે જો એક ભાગ વધારાય તો બીજો ભાગ ઘટાડવો પડશે. હેલ્થ કેરના બજેટના રૂપિયા ઘટી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. નાસાના બજેટમાં પણ 23 ટકાનો ઘટાડો થશે તેવી વાત છે. ડિફેન્સ સિવાયના બીજા બજેટમાં 10 ટકા જેટલો કાપ લાગી શકે છે. એટલે જો બંદર કે રેલ બનાવવમાં 100 રૂપિયા ખર્ચાતા હોય તો હવે 90 રૂપિયા જ ખર્ચાશે, બાકીના 10 રૂપિયા વધેલા ડિફેન્સ બજેટમાં જતા રહેશે. ટ્રમ્પે અમેરિકાના વિકાસનું ગળું દબાવ્યું પણ એક સવાલ થાય કે આ યુદ્ધની કિંમત કોને ચૂકવવી પડશે? એક દમ ક્લિયર વાત છે કે સીધી રીતે અમેરિકાના લોકોને અને આડકતરી રીતે દુનિયાને. મંગળ પર જવાનું નાસાનું સપનું છે તે મંગળવારે ઈરાનમાં લોહી વહાવીને વસૂલ કરાશે. આ છે ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટ મોડલ. હવે દુનિયા ડિફેન્સ માટે કેટલા રૂપિયા ખર્ચે છે તેની વાત કરીએ. દુનિયામાં હથિયારો વધારવાનો નવો ક્રેઝ જો દુનિયાના સૌથી વધુ ડિફેન્સ બજેટવાળા દેશોનું ડિફેન્સ બજેટ ભેગું કરવામાં આવે તો પણ તે અમેરિકાના ડિફેન્સ બજેટ જેટલું નહીં થાય. આ ખતરનાક વિષય છે. આ ઈરાન અને દુનિયા સહિત ભારત માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે એક વર્ષમાં ભારત જેટલું ડિફેન્સમાં ખર્ચ કરે છે તેના 9 ગણા જેટલું બજેટ અમેરિકા એક જ વર્ષમાં સ્વાહા કરી દેશે. અને આ એક પ્રકારનું ચેઈન રિએક્શન છે. કારણ કે જો એક દેશ પોતાની રક્ષા માટે વધારે ખર્ચ કરે તો બાકીના દેશો પણ પોતાની રક્ષા માટે વધુ ખર્ચો કરશે. જેના કારણે એન્વાયરમેન્ટ, ગરીબી જેવી વસ્તુ સાઈડમાં રહી જશે અને વિનાશનો ખર્ચ વધતો જશે. વિચાર કરો યુદ્ધમાં અંદાજે રોજ સરેરાશ 2 બિલિયન ડોલર વપરાઈ રહ્યા છે. આટલા રૂપિયાથી તો કેટલાય દેશનો ભૂખમરો મીટાવી શકાય છે. ટ્રમ્પની જીદ અને ઈરાનના ડગ ન દેવાના વલણના કારણે રૂપિયો 100ને પાર પહોંચી શકે તેવા હાલ ઉભા થવા આવ્યા છે. યુદ્ધને યોગ્ય ઠેરવવા બાઈબલનો સહારો આ યુદ્ધ પણ મધ્યયુગીન ક્રુસેડ્સ એટલે કે ધર્મ યુદ્ધની ઝાંખી અપાવી રહ્યું છે. આ બહુ મહત્વની વાત છે જે આપણે બીટવીન ધ લાઈન્સ ચૂકી જઈએ છીએ કે ટ્રમ્પ હવે ઈરાનને પાડી દેવા ધર્મનો સહારો લઈ રહ્યા છે. યુદ્ધને ધર્મ યુદ્ધમાં ખપાવવા ટ્રમ્પની પ્લાનિંગ? પેન્ટાગોન અને અમેરિકાના સૈન્ય અંદરથી સમાચારો આવી રહ્યા છે કે સેનાના મોટા અધિકારીઓ હવે સૈનિકોને બાઈબલના જજમેન્ટ ડેના પાઠ ભણાવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં બાઈબલની હોલી વોર અટલે કે પવિત્ર યુદ્ધને ટ્રમ્પ સરકાર ઈરાન સામે જોડવાનો એજેન્ડા ફેલાવી રહી છે. જેમ આપણા પૂરાણોમાં પૃથ્વીનો જળપ્રલય અને જ્વાળામુખીથી નાશની વાત છે તેમ બાઈબલમાં પણ આર્માગેડન એટલે કે વિશ્વના અંતિમ વિનાશની વાત છે. અમેરિકાના સૈનિકોના મગજમાં એવી વાત ઘૂસાવવામાં આવી રહી છે કે આ યુદ્ધ ઈશ્વરની દૈવીય શક્તીનો ભાગ છે. જો સૈનિકો માનવા લાગશે કે તેઓ ધર્મના નામે લડી રહ્યા છે તો યુદ્ધના મેદાનમાં જીનેવા કન્વેન્શન કે હ્યુમન રાઈટ્સની વાતો ગૌણ બની જશે. 7 એપ્રિલના ટ્રમ્પના પાવર પ્લાન્ટ ડેને પણ આવી જ વિચારધારા હેઠળ જોવામાં આવી રહ્યો છે. ચીનનો હોર્મુઝ ગેમપ્લાન હવે વાત ચીનની પણ કરી લઈએ. આ આખા ખેલમાં પડદા પાછળ સૌથી મોટો ખેલ જો કોઈ ખેલી રહ્યું છે તો તે ચીન છે. NDTVનો એક રિપોર્ટ છે જેમાં માર્સેલસ ઈન્ટ એડવાઈઝર્સના સૌરભ મુખર્જી કહે છે કે ચીન યુદ્ધમાં માત્ર મધ્યસ્થી નથી કરી રહ્યું પણ હોર્મુઝમાં ટેરેફિક કૂનો પણ પ્લાન કરી રહ્યું છે. એક બાજુ અમેરિકા અબજો ડોલર અને સૈનિકોના જીવ વેડફી રહ્યું છે તો બીજી બાજુ ચીન તહેરાન સાથે મળીને હોર્મુઝ પર પોતાની શક્તિ વધારવા મથામણ કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ જ છીએ કે હમણા થોડા દિવસ પહેલા જ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હોર્મુઝ ખોલાવવાની જવાબદારી અમારી નથી, જેને તેલ જોતું હોય તે હોર્મુઝ ખોલાવી દે. હોર્મુઝ ખોલવા ચીનનું લશ્કરી ગતકડું! જો ચીન અને ઈરાન સાથે મળીને હોર્મુઝમાં કોઈ મોટી કામગીરી ચાલુ કરે તો વિશ્વના 20-22 ટકા તેલ સપ્લાયની ચાવી બેઈજિંગ પાસે આવી શકે તેમ છે. આ અમેરિકાને ફસાવવા માટે નથી પણ આવનાર સદીઓ સુધી ગ્લોબલ બિઝનેસ સપ્લાયમાં પાવર વધારવાની ચાલ છે. ભારતે તેલ-ગેસ ખરીદવા માટે હોર્મુઝ સિવાયના દેશો પાસેથી તૈયારીઓ કરી લીધી છે પણ આપણી ઘણી સપ્લાય હોર્મુઝથી આવે જ છે. જો ચીનનું અહીં ડોમિનન્સ વધે તો ભારત માટે આ એક નેગેટિવ વાત છે. સૌરભ મુખર્જીનું માનીએ તો ભારત અત્યારે સાગર મંથનમાંથી પસાર થઈ રહ્યું છે. આ ઈકોનોમિક મંથનમાં જો ભારત એનર્જીની ડિપેન્ડેન્સી નહીં ઘટાડે તો યુદ્ધ ભારતને દાયકાઓ પાછળ ધકેલી શકે તેમ છે. ભારત માટે એક બાજુ ટ્રમ્પની હઠ છે અને બીજી બાજુ ચીનની ચાલ છે. ટ્રમ્પ પાગલ અને દુષ્ટઃ માર્જરી ટેલર ગ્રીન પણ જ્યારે ટ્રમ્પની આક્રમકતા આસમાને છે ત્યારે અમેરિકાની અંદર જ મોટી તરાડ સામે આવી છે. જે માર્જરી ટેલર ગ્રીન એક સમયે ટ્રમ્પના સૌથી મોટા સમર્થક હતા તેમણે જ ટ્રમ્પને પાગલ અને દુષ્ટ કહી દીધા છે. ગ્રીનનું કહેવું છે કે ટ્રમ્પ માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેઈનના રસ્તે નથી પણ અમેરિકાના વિનાશના રસ્તે છે. ટ્રમ્પના ડિફેન્સ સચિવ પીટ હેગસેથે પેન્ટાગોનમાં હિંસા માટે જે આશીર્વાદ માગ્યા છે તેનાથી ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ નારાજ છે. પોપ લીઓએ ચોખ્ખું કીધું છે કે ભગવાન યુદ્ધખોરોની પ્રાર્થના નથી સાંભળતા. ટ્રમ્પના યુદ્ધ મામલે અમેરિકામાં રાજકીય ભૂકંપ! આ ડબલ રોલ કહી જાય છે કે અમેરિકામાં પણ યુદ્ધ મામલે બે ફાટા પડી ગયા છે. એક પક્ષનું કહેવું છે કે યુદ્ધ જ હવે કલ્યાણ જ્યારે બીજો પક્ષ આને અમેરિકાના પતન તરીકે જોઈ રહ્યો છે. સેનેટર ક્રિસ મર્ફી અને ચક શૂમરે આના જ કારણે ટ્રમ્પને ઉન્નત દરજ્જાના પાગલ કહી દીધા છે. આ પોલિટિકલ નિવેદન નથી પણ એક માહોલ એવો ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી ટ્રમ્પને પાગલ ગણાવી દેવામાં આવે અને સત્તા પરથી હટાવી શકાય. ટ્રમ્પને પાગલ કરાર કરવાની હિલચાલ તેજ? જ્યારે કોઈ દેશના વડાના હાથમાં પરમાણુ બટન હોય અને તેમની માનસિક હાલત ઠીક ન હોય તેવી વાતો ચાલી રહી હોય ત્યારે માત્ર તે દેશ માટે જ નહીં પણ પૂરી દુનિયા માટે ખતરો બની જાય છે. એવામાં હવે ચર્ચા એ વાતને લઈને ઉભી થઈ રહી છે કે શું ટ્રમ્પને હટાવી શકાય કે રોકી શકાય? પણ શું ટ્રમ્પને હટાવી શકાય? હાં... અમેરિકાના બંધારણ મુજબ બે રીતે ટ્રમ્પને હટાવી શકાય છે. એક તો મહાભિયોગ લાવીને જેમાં બંને ગૃહમાં બહુમતિ સાથે ટ્રમ્પને હટાવી શકાય. બીજી રીત છે ટ્રમ્પને પાગલ તરીકે ખપાવીને. તેનું નામ છે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટ. શું ટ્રમ્પ પર ત્રીજીવાર મહાભિયોગ લવાશે? આ એટલા માટે ચર્ચામાં છે કારણ કે સેનેટર ક્રિસ મર્ફીએ ઈસ્ટરની રજાઓના દિવસે પણ અમેરિકાના દિગ્ગજ વકીલોને ફોન કરીને આ વિશે પૂછપરછ કરી છે. આ સુધારો ત્યારે લાગુ થાય જ્યારે રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક રીતે રાષ્ટ્રપતિ પદની સત્તા સંભાળવા માટે યોગ્ય ન હોય. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી 3 રાષ્ટ્રપતિઓ સામે મહાભિયોગ લાવવામાં આવ્યો છે, પણ એકેયને હટાવી શકાયા નથી. ટ્રમ્પ પોતે 2 વાર મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે. પરંતુ, આ વખતે જે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટનીની વાત છે તે વધુ ગંભીર છે. કારણ કે મહાભિયોગ ગુના પર આધારિત હોય છે, જ્યારે 25મો સુધારો માનસિક અક્ષમતા પર. માર્જરી ટેલર ગ્રીન જેવા જૂના સાથીઓ જ્યારે ટ્રમ્પને પાગલ કહેવા લાગે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ માટે આ સુધારો લાવવો એ કાનૂની રીતે વધુ સરળ બની જાય છે, જોકે રાજકીય રીતે તે હજુ પણ અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે ટ્રમ્પ પાસે બહુમતિ છે. ઈરાની તેલના કૂવા સળગાવવા અમેરિકન ધમકી ટ્રમ્પનું ઈરાન માટેનું 48 કલાકનું અલ્ટીમેટમને આવતીકાલે મંગળવારે પૂરું થાય છે. ઈરાન ડગ આપવા તૈયાર નથી અને આપણે શરૂઆતમાં પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની વાત કરી જ છે. જો હુમલા થાય પણ તો તે સામાન્ય નહીં હોય. આનાથી ઈરાન અને દુનિયા બંનેમાં ભૂકંપ આવી શકે તેમ છે. જો ઈરાનની પાવર ગ્રીડ ઠપ્પ થાય તો ઈરાન દિવસના અજવાળામાં પણ અંધારામાં આવી જશે. હોસ્પિટલથી લઈને વોટર સપ્લાય સહિતની બધુ વસ્તુઓ પર મોટી અસર થશે. ઉપરથી બ્રિજ તૂટે તો ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થઈ શકે તેમ છે. જો તેલના કૂવા સળગાવવાની ધમકી આપી તે પણ સાચી સાબિત થાય તો બાઈબલના આર્માગેડન જેવું થઈ જાય અને ઈરાનને કોઈ બચાવી નહીં શકે. અને છેલ્લે... ટ્રમ્પે ઈરાનને ગાળ આપીને અલ્ટીમેટમ આપ્યું કે હોર્મુઝનો સમુદ્રી રસ્તો ખોલી દે. નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલો કરવામાં આવશે અને ઈરાનને નરક બનાવી દેવામાં આવશે. આ વાત પર ઈરાનની એમ્બસીએ ટ્રમ્પને ટોણો માર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટની ચાવી અમારી પાસે નથી, ખોવાઈ ગઈ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:55 pm

નવસારીમાં યુવકની હત્યા કરનાર 6 આરોપીઓ ઝડપાયા:LCBએ 300 CCTV ફૂટેજ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો; છેતરપિંડીથી ગેમમાં રૂપિયા જીત્યા હોવાની શંકાએ યુવકની હત્યા કરાઈ

નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામમાં ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રૂપિયા હારવાની અદાવતમાં છ શખ્સોએ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય યુવકને બેલ્ટ અને દોરડા વડે માર મારી હત્યા કરી હતી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના 04/04/2026ના રોજ ગણેશ સિસોદ્રા ગામની સીમમાં બની હતી. મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના અને હાલ નવસારીમાં રહેતા દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન (ઉંમર 43) સામે આરોપીઓ ગેમમાં રૂપિયા હારી ગયા હતા. આરોપીઓને શંકા હતી કે, રાજુએ છેતરપિંડી કરીને રૂપિયા જીત્યા છે, જેમાંથી અદાવત ઊભી થઈ હતી. આ અદાવતમાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ રાજુ પર હુમલો કર્યો હતો. તેમણે રાજુને દોરડાથી બાંધી, ઢીકામુક્કી અને બેલ્ટ વડે નિર્દયતાથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે રાજુનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1), 115(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગુના સ્થળને જોડતા રસ્તાઓ પરના 300 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ કારમાં ભાગી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીછો કરીને તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મંથન રમેશ બોરાડ (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), ભૌતીક શૈલેષ પ્રજાપતી (રહે. વેદાંત હાઇટ્સ, ગણેશ સિશોદ્રા), અશોક ઉર્ફે હસલો દલુ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સિસોદ્રા), જીગ્નેશ ઉર્ફે જીગો રવજી પટેલ (રહે. રંગ ટેકરી, ગણેશ સીસોદ્રા), પ્રતિક ઉર્ફે કાતર સંદીપ હળપતિ (રહે. વેરાઇ ફળીયુ, ગણેશ સીસોદ્રા) અને કેવીન મુકેશ પટેલ (રહે. જશોદાનગર, ગણેશ સીસોદ્રા)નો સમાવેશ થાય છે. હાલમાં નવસારી પોલીસે તમામ આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ રીઢા ગુનેગારો છે: ભૌતીક પ્રજાપતી: અગાઉ લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે અશોક હળપતિ: અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે પ્રતિક ઉર્ફે કાતર: બારડોલી, માંડવી અને નવસારી રૂરલમાં જુગારધારાના અનેક ગુનાઓ નોંધાયેલા છે

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:53 pm

વેરાવળમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી:ઘરેઘરે ધ્વજ ફરક્યા, મહા જનસંપર્ક અભિયાન પણ યોજાયું

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન શહેરમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. શહેર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ઉપરાંત કાર્યકરોએ પોતાના ઘરો પર પણ પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રકારે સ્થાપના દિનની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી, જેનાથી અનેક વિસ્તારોમાં પક્ષ પ્રત્યેની લાગણીનો માહોલ સર્જાયો હતો. સાંજે વેરાવળ ખાતે જિલ્લા કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અગ્રણી દીપક વઘાસિયાએ ભાજપના સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસયાત્રા અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે પાર્ટીના સિદ્ધાંતો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ સંગઠનની શક્તિ વિશે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા, શહેર અને તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કાર્યાલયને ધ્વજો, બેનરો અને લાઈટિંગ દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા મહા જનસંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ કાર્યકરો જુદા જુદા વિસ્તારોમાં ઘરેઘરે જઈને ભાજપની વિકાસગાથા રજૂ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ અભિયાનને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, જેમાં કાર્યકરોમાં પક્ષ પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:46 pm

દાણીલીમડામાંથી 317 કફ સીરપના જથ્થા સાથે એકની ધરપકડ:બહેરામપુરામાં લારીમાંથી પૈસા લેવા મામલે વેપારીને છરીના ઘા માર્યા

અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ગુનાખોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 317 નશાકારક કફ સિરપની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહેરામપુરામાં લારીમાંથી રૂપિયાની ચોરી કરનાર શખ્સે ઠપકો આપનાર વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. દાણીલીમડામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશદાણીલીમડા પોલીસની ટીમ જ્યારે નાઈટ કોમ્બિંગમાં હતી, ત્યારે તેમને ન્યુ ફૈઝલનગર પાસેના ખુલ્લા મેદાનમાં રિક્ષા દ્વારા ગેરકાયદેસર રીતે કફ સિરપ વેચાતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર દરોડો પાડીને સાહિલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપની 317 બોટલ, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા મળી કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સાહિલની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ જથ્થો તેણે દાણીલીમડાના જ મહમંદ સલામન ઉર્ફે બાબા મારવાડી પાસેથી મેળવ્યો હતો. હાલમાં દાણીલીમડા પોલીસે ફરાર આરોપી મહમંદ સલામન ઉર્ફે બાબા મારવાડીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બહેરામપુરામાં વેપારી પર જીવલેણ હુમલોબીજી ઘટનામાં, બહેરામપુરા વિસ્તારમાં ફ્રુટની લારી ચલાવતા નારણભાઇ પુરાણીયા પર જતીન પરમાર નામના શખ્સે ચપ્પુથી હુમલો કર્યો છે. ગત 5 એપ્રિલના રોજ જ્યારે નારણભાઇ લઘુશંકા કરવા ગયા હતા, ત્યારે પાડોશના લારીધારકે તેમને જાણ કરી હતી કે જતીન તેમની લારીમાંથી રૂપિયા ચોરી ગયો છે. નારણભાઇ જ્યારે જતીનને આ બાબતે ઠપકો આપવા ગયા, ત્યારે મામલો બિચક્યો હતો. જતીન પરમારે ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી નારણભાઇ પર બે વાર પ્રહાર કર્યા હતા. લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:36 pm

જામનગર મનપાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું:વોર્ડ નં.2ના AAPના ઉમેદવાર હનીફ જતમલેકે રાજીનામું આપ્યું, કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા; ચૂંટણી પહેલા સમીકરણો બદલાયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. શહેર ઉપપ્રમુખ હનીફ હસન જતમલેકે પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ હનીફ જતમલેકને વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. હનીફ જતમલેક જામનગર શહેરના મુસ્લિમ સમાજના ચહેરા અને AAP સંગઠનના પાયાના કાર્યકર હતા. તેમણે એકલા નહીં, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક હોદ્દેદારોએ પણ AAPમાંથી રાજીનામા આપ્યા છે. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મને કોર્પોરેશનની ટિકિટ આપી તે બદલ હું આભાર માનું છું, પરંતુ હાલના સંજોગોમાં હું મારા તમામ હોદ્દા અને સભ્યપદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું. જતમલેક અગાઉ વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. હવે તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેમની સાથે AAPના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને તેની આસપાસના વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ જામનગરમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. AAPના સંગઠનમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને લઘુમતી મતો અને સ્થાનિક નેતૃત્વ પર આ રાજીનામાની સીધી અસર જોવા મળશે. આ ઉપરાંત, AAP અને ભાજપના અન્ય કેટલાક હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા અન્ય હોદ્દેદારોમાં AAPના શહેર લીગલ સેલ વિભાગના દિપાલીબેન મંગે, વોર્ડ નંબર 14ના પ્રમુખ કિશોર રતડા અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના વોર્ડ નંબર 8ના ઉપપ્રમુખ વિવિધાબેન ભટ્ટનો સમાવેશ થાય છે. હનીફ હસન જતમલેકે જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટીનો પૂર્વ ઉપપ્રમુખ હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે જોડાવું છું. આ પહેલા પણ હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો હતો અને મેં 21 વર્ષ કોંગ્રેસમાં વિતાવ્યા હતા. ગયા વખતે પક્ષના આંતરિક મતભેદોને કારણે અમે નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેલ્લી ચૂંટણી મેં ‘આપ’ માંથી લડી હતી પરંતુ હવે સમીકરણો એવા બન્યા છે કે મારા વિસ્તારના લોકોની ઈચ્છા છે કે હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડું. જો કોંગ્રેસ પક્ષ મને ટિકિટ આપશે અને લડાવવા માંગશે, તો લોકોના આગ્રહને માન આપીને હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર જાહેર કર્યો હતો, તે બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેમણે મારામાં કંઈક જોઈને જ મને ટિકિટ આપી હશે, પરંતુ બદલાતા સમીકરણોને કારણે મારે હવે ‘આપ’ છોડીને કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:33 pm

16 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી મહેસાણા હાઈવે ઝડપાયો:એકાઉન્ટન્ટની નોકરી છોડી ડ્રાઈવર બન્યો, 2009 માં ટેક્સટાઈલની ઓફિસમાંથી 3.60 લાખની ચોરી કરી હતી

સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષ 2009માં પોતાના શેઠનો વિશ્વાસ તોડી ₹3.60 લાખની ચોરી કરી ફરાર થયેલા આરોપી સોહનલાલ બિશ્નોઈને ઝોન-5 LCBની ટીમે 16 વર્ષ અને 3 મહિના બાદ મહેસાણા-પાલનપુર હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. સફેદ કોલર જોબ છોડી ડ્રાઈવર બની ઓળખ છુપાવનાર આ આરોપી ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની સતર્કતાને કારણે આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?વર્ષ 2009માં, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચંપાબેરી ગામનો વતની સોહનલાલ બિશ્નોઈ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ચંદુમલ તેજવાણીની ટેક્સટાઇલ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ઓફિસના હિસાબ-કિતાબ અને રોકડની તમામ જવાબદારી સોહનલાલના શિરે હતી. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી, તેણે ઓફિસમાંથી રોકડ અને ચેક મળી કુલ ₹3.60 લાખની ઉચાપત કરી હતી અને રાતોરાત સુરત છોડીને પલાયન થઈ ગયો હતો. આ મામલે મહિધરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તેની સામે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. ઓળખ બદલીને પોલીસને 16 વર્ષ સુધી થાપ આપીપોલીસની પકડથી બચવા માટે સોહનલાલે પોતાની જીવનશૈલી અને વ્યવસાય સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. એકાઉન્ટન્ટની નોકરી છોડી તેણે ડ્રાઈવિંગનો વ્યવસાય અપનાવ્યો હતો અને અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો. 40 વર્ષીય સોહનલાલને એમ હતું કે દોઢ દાયકા જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી પોલીસ તેને ભૂલી ગઈ હશે, પરંતુ સુરત પોલીસની ટીમ સતત તેના મૂળ શોધવામાં કાર્યરત હતી. મહેસાણા-પાલનપુર હાઈવે પરથી આરોપીની ધરપકડઝોન-5 LCB ના અધિકારી લખધીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જાણવા મળ્યું કે સોહનલાલ હાલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં ડ્રાઈવર તરીકે અવરજવર કરે છે. બાતમીના આધારે પોલીસે મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલી 'ધરતી સતી માતા હોટલ' પાસે સાદા વેશમાં વોચ ગોઠવી હતી. જેવો સોહનલાલ હોટલના મેદાનમાં દેખાયો, પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરીધરપકડ બાદ આરોપી સોહનલાલને આગળની કાર્યવાહી માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં પૂછપરછ કરી રહી છે કે 16 વર્ષના આ લાંબા સમયગાળા દરમિયાન તેણે અન્ય કયા સ્થળોએ આશરો લીધો હતો અને શું તેણે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે કે કેમ. આ કામગીરી દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલો સમય ભાગતો રહે, પણ કાયદો તેને શોધી જ લે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

વેરાવળ પોલીસે ₹27.39 લાખનો મુદામાલ પરત કર્યો:તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ SP જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચોરી થયેલ, ગુમ થયેલ તેમજ સાયબર ઠગાઈમાં ગયેલ કુલ ₹27,39,724 કિંમતનો મુદામાલ 121 અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પરત કરાયેલા મુદામાલમાં વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં આશરે 54.9 ગ્રામ વજનના સોનાના દાગીના (કિંમત ₹5,75,000), બે અલગ અરજીઓ અંતર્ગત કુલ ₹5,85,000 રોકડ રકમ, અને 29 અરજદારોને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલા કુલ ₹4,08,585 પરત મળ્યા હતા. આ ઉપરાંત, 50 મોબાઇલ હેન્ડસેટ (કુલ કિંમત ₹8,05,138), 4 ગુમ થયેલ બાઇકો (કુલ કિંમત ₹1,55,000) અને વિદ્યાર્થીઓના એડમિશન સંબંધિત 35 મહત્વના અસલ દસ્તાવેજો પણ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી, જેમાં અંદાજે ₹8 લાખનો મુદામાલ સંબંધિત અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુમ થયેલ કિંમતી વસ્તુઓ પરત મળતાં નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ અભિયાનથી પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને પોલીસની સેવાભાવની ભાવના પ્રગટ થઈ છે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ નાગરિકોને ખાસ કરીને સાયબર ક્રાઇમ અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે અજાણ્યા કોલ, લિંક્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે સાવચેતી રાખવા અને કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં તરત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેરા તુજકો અર્પણ અભિયાન માત્ર એક સરકારી પહેલ નથી, પરંતુ નાગરિકોને ન્યાય અને વિશ્વાસ પરત આપતી એક માનવિય પહેલ તરીકે ઉભરી આવ્યું છે. વેરાવળ પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

કરોડોના ખર્ચે બનેલું 24-કલાક પાણીનું નેટવર્ક પહેલા જ ભંગાણે હાંફ્યુ:અમદાવાદથી પાઈપનો ટુકડો મગાવી સમારકામ કરાયું, બે દિવસથી પાણીનો કકળાટ

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 325 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલી 24 કલાક પાણી પુરવઠાની યોજના પ્રથમ કોળિયે જ મક્ષિકા જેવી સાબિત થઈ રહી છે. સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. તંત્ર દ્વારા ગઈકાલથી જ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે આજે સોમવાર સુધી ચાલી હતી. ત્યારે આજ સાંજથી પાણી પુરવઠો યથાવત થવાના દાવા વચ્ચે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે. 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં સમષ્યાગાંધીનગરના સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. આ સમગ્ર ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અંદાજે 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં નવી પાઈપલાઈનોને બદલે દાયકાઓ જૂની લાઈનો પર જ આખી યોજનાનો ભાર લાદી દેવામાં આવ્યો છે. મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને તકલીફઆ જૂની લાઈનો સતત પાણીના ફોર્સને સહન કરવા માટે સક્ષમ નથી. જેના કારણે વારંવાર ભંગાણની સમસ્યા સર્જાતી રહેશે તેવી ભીતિ નગરજનો સેવી રહ્યા છે. ત્યારે મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા તેના સમારકામ માટે પાટનગર યોજના વિભાગની ટીમો ગઈકાલ રવિવારથી કામે લાગી હતી. 10 મીટર પાઈપનો ટુકડો અમદાવાદથી મંગાવવો પડ્યોઆશ્ચર્યની વાત એ છે કે જૂની ડિઝાઈનની પાઈપ હોવાથી તેનો 10 મીટરનો ટુકડો છેક અમદાવાદથી મગાવવો પડ્યો હતો. જેના પગલે લાંબી જહેમત બાદ લાઈન રિપેર કરવામાં આવી છે અને આજ સોમવાર સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે રવિવાર અને સોમવાર એમ બે દિવસના પાણીના કકળાટ બાદ હવે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:31 pm

એપ્રિલ મહિનાના પ્રથમ પાંચ દિવસમાં રોગચાળો વકર્યો:શહેરમાં ઝાડા-ઉલટીના 106, ટાઈફોઈડના 22 અને કમળાના 6 કેસ નોંધાયા

એપ્રિલ માસના પ્રથમ પાંચ દિવસમાં જ અમદાવાદમાં ઝાડા-ઉલટીના 106 કેસ નોંધાયા હતા. પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 22 કેસ, કમળાના 6 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલના આ સમયગાળામાં કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. આ પાંચ દિવસમાં ચિકનગુનિયા કે ઝેરી મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી. પાણીના 1,004 સેમ્પલમાંથી 6 નમૂના અનફિટ જાહેરજાન્યુઆરી 2026થી 5 એપ્રિલ સુધીના કુલ આંકડા જોઈએ તો શહેરમાં ડેન્ગ્યુના કુલ 80 કેસ અને સાદા મેલેરિયાના 21 કેસ નોંધાઈ ચૂક્યા હતા. આ રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના 1,004 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. એપ્રિલના પ્રથમ પાંચ દિવસમાં કુલ 6,675 રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરના 26 જેટલા હાઈ-રિસ્ક વિસ્તારોમાં ઈજનેર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. AMCનું ડ્રેનેજ અને પાણી પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાનAMCના ડેટા મુજબ, અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, સરસપુર અને વટવા જેવા વિસ્તારોમાં ડ્રેનેજ ચોકિંગ અને પાણીના પ્રદૂષણની ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન આ વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનોના લિકેજને લગતી કામગીરીમાં ગત વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:22 pm

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 398 બેઠકો પર મતદાન યોજાશે:17.31 લાખ મતદારો 1984 મથકો પર વોટ આપી શકશે, ઉમેદવારોની પ્રચાર-પ્રસાર માટે તૈયારીઓ શરૂ

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ભાવનગર મહાનગર પાલિકા, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા મળી કુલ 398 બેઠકોમાં 1984 મતદાન મથકો પર કુલ 17,31,169 મતદારો દ્વારા પોતાના મતાધિકારીનો ઉપયોગ કરવામાં આવશે.જેનું તા. 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. મનપાના 13 વોર્ડમાં 52 બેઠકો હાલમા જ સ્થાનિક સ્વરાજની સમય મર્યાદા પૂર્ણ થતાં ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી થતા વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટેની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ભાવનગર જિલ્લામાં ભાવનગર મનપા, જિલ્લાપંચાયત, નગરપાલિકા ચૂંટણી અંગે વહીવટી તંત્ર દ્વારા પણ બેઠકોનો દોર તમેજ તૈયારીઓનો આરંભ કર્યો છે. જેમાં 10 તાલુકા પંચાયતમાં 210, જિલ્લા પંચાયતની 40 બેઠક, વલ્લભીપુર, પાલીતાણા અને મહુવા મળી કુલ 3 નગરપાલિકા માટે 96 બેઠકો, ભાવનગર મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો મળી કુલ 398 બેઠકો પર આગામી 26 એપ્રિલના મતદાન યોજાનાર છે. 1984 મતદાન મથકો, 17.31 લાખ મતદારોજેમાં ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 445 મતદાન મથકો પર કુલ 4,58,376 મતદારો, તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતના કુલ 1394 મતદાન મથકો પર 11,40,294 મતદારો, 3 નગરપાલિકામાં 145 મતદાન મથકો પર 1,32,499 મતદારો પોતાના મતાધિકારીનો મતદાન કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ભાવનગર મહાનગર પાલિકા કુલ 13 વોર્ડ - 52 બેઠક વોર્ડ - 1 મતદાન મથકની સંખ્યા : 36મતદારોની સંખ્યા : 38429સેવા મતદારો : 46 વોર્ડ - 2મતદાન મથકોની સંખ્યા : 24મતદારોની સંખ્યા : 27178સેવા મતદારો : 29 વોર્ડ -3 મતદાન મથકની સંખ્યા : 32મતદારોની સંખ્યા : 34611સેવા મતદારો : 10 વોર્ડ - 4 મતદાન મથકની સંખ્યા : 37મતદારોની સંખ્યા : 38226સેવા મતદારો : 10 વોર્ડ -5 મતદાન મથકની સંખ્યા : 34મતદારોની સંખ્યા : 35006સેવા મતદારો : 10 વોર્ડ -6 મતદાન મથકની સંખ્યા : 36મતદારોની સંખ્યા : 36945સેવા મતદારો : 6 વોર્ડ - 7મતદાન મથકની સંખ્યા : 33મતદારોની સંખ્યા : 33052સેવા મતદારો : 9 વોર્ડ - 8 મતદાન મથકની સંખ્યા : 25મતદારોની સંખ્યા : 24955સેવા મતદારો : 6 વોર્ડ - 9 મતદાન મથકની સંખ્યા : 32મતદારોની સંખ્યા : 33168સેવા મતદારો : 55 વોર્ડ -10મતદાન મથકની સંખ્યા : 41મતદારોની સંખ્યા : 40499સેવા મતદારો : 11 વોર્ડ - 11મતદાન મથકની સંખ્યા : 31મતદારોની સંખ્યા : 32537સેવા મતદારો : 14 વોર્ડ -12મતદાન મથકની સંખ્યા : 42મતદારોની સંખ્યા : 40302સેવા મતદારો : 15 વોર્ડ -13 મતદાન મથકની સંખ્યા : 42મતદારોની સંખ્યા : 43468સેવા મતદારો : 26કુલ : 445 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 458376 - સેવા મતદારો - 247 ભાવનગર તાલુકા પંચાયત 210 બેઠક - જિલ્લા પંચાયત 40 બેઠક ભાવનગર ગ્રામ્ય તાલુકા પંચાયત : 20જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 128મતદારોની સંખ્યા : 111649સેવા મતદારોની સંખ્યા : 89 ઘોઘા તાલુકા પંચાયત : 18જિલ્લા પંચાયત : 3મતદાન મથકોની સંખ્યા : 96મતદારોની સંખ્યા : 79085સેવા મતદારોની સંખ્યા : 118 સિહોર તાલુકા પંચાયત : 22જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 160મતદારોની સંખ્યા : 128401સેવા મતદારોની સંખ્યા : 127 ઉમરાળા તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 89મતદારોની સંખ્યા : 72295સેવા મતદારોની સંખ્યા : 45 વલ્લભીપુર તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 3મતદાન મથકોની સંખ્યા : 75મતદારોની સંખ્યા : 57995સેવા મતદારોની સંખ્યા : 34 પાલીતાણા તાલુકા પંચાયત : 20જિલ્લા પંચાયત : 4મતદાન મથકોની સંખ્યા : 143મતદારોની સંખ્યા : 115730સેવા મતદારોની સંખ્યા : 133 ગારીયાધાર તાલુકા પંચાયત : 16 જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 84મતદારોની સંખ્યા : 66744સેવા મતદારોની સંખ્યા : 33 તળાજાતાલુકા પંચાયત : 32જિલ્લા પંચાયત : 8મતદાન મથકોની સંખ્યા : 268મતદારોની સંખ્યા : 214243સેવા મતદારોની સંખ્યા : 406 મહુવા તાલુકા પંચાયત : 34 જિલ્લા પંચાયત : 8મતદાન મથકોની સંખ્યા : 281મતદારોની સંખ્યા : 241110સેવા મતદારોની સંખ્યા : જેસર તાલુકા પંચાયત : 16જિલ્લા પંચાયત : 2મતદાન મથકોની સંખ્યા : 70મતદારોની સંખ્યા : 53042સેવા મતદારોની સંખ્યા : 20 કુલ 1394 મતદાન મથક - કુલ મતદારોની સંખ્યા - 1140294 - સેવા મતદારો - 1150 મહુવા-પાલીતાણા-વલ્લભીપુર નગરપાલિકાની 96 બેઠકો મહુવા નગરપાલિકા વોર્ડ : 9બેઠક : 36મતદાન મથકોની સંખ્યા : 74મતદારોની સંખ્યા : 73942 પાલીતાણા નગરપાલિકા વોર્ડ : 9બેઠક : 36 મતદાન મથકોની સંખ્યા : 56મતદારોની સંખ્યા : 45417 વલ્લભીપુર નગરપાલિકા વોર્ડ : 6બેઠક : 24 મતદાન મથકોની સંખ્યા : 15 મતદારોની સંખ્યા : 13140 કુલ 145 મતદાન મથકો - કુલ મતદારોની સંખ્યા - 132499

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:18 pm

પ્રેમ પ્રકરણનો કરૂણ અંત:રાજકોટમાં પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા પ્રેમીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો

રાજકોટમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 વર્ષથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો થોડા સમય પહેલા કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા જો કે પ્રેમિકાના જામનગર ખાતે લગ્ન કરી લેતા યુવકે આઘાતમાં આવી આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ભગવતીપરા શેરી નંબર 10માં રહેતા યુનુસ અલારખાભાઈ ઘેલડા (ઉ.વ.42) નામના યુવાને આજે બપોરના સમયે ઘર પાસે આવેલા જૂના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુનુસ બે ભાઈઓમાં નાનો હતો અને વ્યવસાયે ફૂલ ડેકોરેશનનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. યુનુસને છેલ્લા 9 વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી અને પોતાના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ લાંબા ગાળાના સંબંધને લગ્નમાં પરિણમવા માટે બંને મક્કમ હતા જેના પગલે ગત બે મહિના પહેલા જ બંનેએ પરિવારની જાણ બહાર કોર્ટમાં લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન કર્યા હોવાના પુરાવા તરીકે ગત શનિવારે જ યુનુસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લગ્નના ડોક્યુમેન્ટ્સ અને કંકોત્રી રજૂ કરી હતી. યુનુસ આશા રાખતો હતો કે કાયદેસરના લગ્ન બાદ તે તેની પત્ની સાથે સુખી જીવન જીવશે પરંતુ ગઈકાલે યુવતીના પરિવારજનોએ યુનુસ સાથેના તેના લગ્નને માન્ય રાખવાને બદલે તેની જાણ બહાર યુવતીના લગ્ન જામનગર ખાતે અન્ય યુવક સાથે કરી નાખ્યા હતા. પોતાના નવ વર્ષના પ્રેમ અને કાયદેસરની પત્નીને કોઈ અન્ય સાથે પરણાવી દેવામાં આવી હોવાની જાણ થતા યુનુસ આઘાતમાં સરી પડ્યો હતો અને આજે બપોરે માલગાડી નીચે પડતું મૂકી અંતિમ પગલું ભરી લીધું હતું હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:17 pm

18 જિલ્લામાં વરસાદની આગાહી:આવતીકાલે તોફાની પવન સાથે વીજળી પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું, સુરતમાં પ્રચાર સમયે ભાજપના નેતાઓ ઘેરાયા

ભૂપેન્દ્ર પટેલે મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કર્યો ગુજરાતીઓેને અભણ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વરસ્યા . ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપે પાંચમી યાદી જાહેર કરી. .મહાનગરપાલિકના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના ઉમેદવાર જાહેર કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે બાઈક વચ્ચેના અકસ્માતમાં 4નાં મોત પોરબંદર એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર યુવકો રોડ પર ફંગોળાયા.. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે એક ઘાયલ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર કરવા આવેલા ભાજપ નેતાઓ ઘેરાયા સુરતમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના BJP નેતાઓને લોકોએ આડેહાથ લીધા. .પ્રચાર કરવા આવેલા નેતાને કાળા પાણીની ડોલ બતાવીને સ્પષ્ટ કહી દીધું કે આ વખતે તો વોટ નહીં જ મળે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AI કાંડની પૂછપરછમાં આપના ઉમેદવાર બેભાન સુરતમાં આપના ઉમેદવાર શ્રવણ જોશી બેભાન થઈ ગયા. ઘટના ત્યારે બની જ્યારે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતના એઆઈ જનરેટેડ ફોટો પોસ્ટ કરવા મામેલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફરી એક વાર રાજ્યમાં બોમ્બ થ્રેટનો તરખાટ અમદાવાદ- રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી.વડોદરા-સુરતમાં પણ થ્રેટના કારણે બોમ્બ-ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી ..ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખીરુમાંથી બનાવેલા ઢોસા ખાઈને મોત અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાવાથી બે બાળકોના મોત થયાનો આક્ષેપ..દોઢ મહિનાની અને ત્રણ વર્ષની બે બાળકીઓના મોત થયા.જ્યારે માતા પિતા સારવાર હેઠળ છે. પરિવાર ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ લાવ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ રુમમાં અલગ અલગ જગ્યાએ દંપતીનો આપઘાત સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આત્મહત્યા કરી.એક જ રુમમાં પત્નીએ લોખંડના હૂકે અને પતિએ પંખે ફાંસો ખાધો.. ગયા વર્ષે જ બંનેએ લગ્ન કર્યા હતા. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી પંચમહાલના હાલોલમાં સ્ક્રેપનો ગોડાઉનમાં ભીષણ આગ લાગી.. લાકડા-પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગ વિકરાળ બની અને અન્ય ચાર ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા..આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલે 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી રાજ્ય પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ચોથી વાર કમોસમી વરસાદ પડશે.7 એપ્રિલે રાજ્યમાં 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે પવન પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:07 pm

ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાનો આજથી પ્રારંભ:ભાવનગરમાં મનપા ના 13 વોર્ડ માટે પેહલાં દિવસે 165 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી ને સંદર્ભે મનપાના 13 વોર્ડ માટે આજથી ફોર્મ ની શરૂઆત થઈ હતી, જેમાં ચાર અલગ અલગ જગ્યાએ ફોર્મ ઉપાડ ની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 થી 13 વોર્ડમાં કુલ 165 ઉપાડ્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ, ફોર્મ ભરાશે, ફોર્મ ખેંચવાના સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓમાં મહાનગરપાલિકા ની 13 વોર્ડ ના 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, ભાવનગરના 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે તથા જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા નો આજથી પ્રારંભ થયો હતો, જેમાં તા.6 ના રોજ ફોર્મ ઉપાડશે તથા તા.11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જ્યારે તા.15 ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, મતદાન પ્રક્રિયા તા.26/4 ને રવિવાર ના રોજ યોજાશે, તથા ચૂંટણી તા.28/4 ના રોજ ચૂંટણી પરિણામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે 165 જેટલા ફોર્મ ઉપડયા હતા, જેમાં જુદા જુદા ત્રણ વોર્ડ ને વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં 1 થી 3 વોર્ડ માં 69 ફોર્મ ઉપાડ્યા હતા, 4 થી 6 વોર્ડ માં 27 ફોર્મ ઉપાડ્યા, 7 થી 10 વોર્ડમાં 52 તથા 11 થી 13 વોર્ડ માં 17 ફોર્મ ઉપાડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 7:06 pm

હિંમતનગરમાં ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો:જનસંઘના કાર્યકરોના બલિદાનને યાદ કરાયું, વિકાસની રાજનીતિ પર ભાર

હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જનસંઘના કાર્યકરોએ દેશ માટે આપેલા યોગદાન અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, જનસંઘની સ્થાપના બાદ કાર્યકરોએ દેશના હિત માટે અનેક બલિદાનો આપ્યા છે, જેને ભૂલી શકાય નહીં. તેમણે કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને સત્તા પર લાવવા માટે એકજૂટ થઈ મતદારોનો સંપર્ક કરવા અને પક્ષની વિચારસરણી તથા વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. પંડ્યાએ ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે જનસંઘના અનેક કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શરૂઆતના તબક્કામાં ભાજપને મળેલી બેઠકો દર્શાવતી હતી કે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. ત્યારબાદ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ દેશના સિદ્ધાંતો માટે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિકાસની રાજનીતિ અપનાવીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી, ઓપરેશન સિંદૂર અને દેશહિત માટે લીધેલા અન્ય નિર્ણયોનો સમાવેશ થાય છે, જેને દેશવાસીઓ આજે પણ યાદ કરે છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ નિર્ણયો સામે કરેલા અપપ્રચારથી નાગરિકો ભ્રમિત થયા ન હતા, જે ભાજપની લોકપ્રિયતા દર્શાવે છે. આ ઉજવણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મહામંત્રી બિપિન ઓઝા, ગણપતસિંહ ઝાલા, પ્રેમલ દેસાઈ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:53 pm

ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનનું પર્યાય બન્યું જુનાગઢ !:​‘રોડમાં ઢાળ રહી ગયો છે’ કહી ખુદ બાંધકામ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી નવો રોડ તોડાવ્યો;વિપક્ષી નેતાનો ભાજપ પર પ્રહાર - ‘યાદશક્તિ વધારવા નેતાઓને કાજુ-બદામ ખવડાવો’

​નરસિંહ મહેતાની નગરી જૂનાગઢમાં હાલમાં વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારના ગાણા ગવાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની મિલીભગત તેમજ અણઘડ આયોજનના કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 7 માં આવેલી ગિરીરાજ નગર સોસાયટી અને અમૃત પેલેસ વિસ્તારમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો સીસી રોડ ફરીથી તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ રોડ તોડવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે તે તંત્રની ઘોર બેદરકારી અને ટેકનિકલ નિષ્ફળતાની ચાડી ખાય છે. ​આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વકર્યો ત્યારે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરાએ પોતે જ આ ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, અમૃત પેલેસ અને વ્હાઈટ ગોલ્ડ સોસાયટીના રસ્તાઓ અંદાજે દોઢેક વર્ષ પહેલા નવા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ટેકનિકલ ખામીને કારણે રોડનું લેવલિંગ એટલે કે 'ઢાળ' યોગ્ય રીતે જળવાયો ન હતો. ઢાળ ઉંધો હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ત્યાં ભરાઈ રહેતું હતું. આ કબૂલાત બાદ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે આ રસ્તો બની રહ્યો હતો ત્યારે મહાનગરપાલિકાના એન્જિનિયરો અને સુપરવાઈઝરો શું કરી રહ્યા હતા? શું કોન્ટ્રાક્ટરને લેવલિંગની સમજ નહોતી કે પછી જાણીજોઈને બિલ બનાવવા માટે ઉતાવળમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું ? ​સ્થાનિક રહીશોની પીડા પણ આ મામલે પરાકાષ્ઠાએ પહોંચી છે. વ્હાઈટ ગોલ્ડ સોસાયટીમાં રહેતા મધુભેન પોપટ અને દિનેશભાઈ જેવા અનેક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, રોડ ખોદી નાખવાને કારણે બાળકોને શાળાએ મૂકવા જવા માટે કે બીમારીના સમયે વાહન બહાર કાઢવા માટે પણ જગ્યા રહી નથી. ગેટની સામે જ ઉંડો ખાડો કરી નાખવામાં આવ્યો છે. વળી, તંત્ર દ્વારા ૧૦ દિવસમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ અત્યારે કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરના માણસો ગાયબ થઈ ગયા છે. ચોમાસું નજીક હોવાથી સ્થાનિકોને ફાળ પડી રહી છે કે જો આ રસ્તો જલ્દી નહીં બને તો આખું ચોમાસું નરકાગાર જેવી સ્થિતિમાં વિતાવવું પડશે. ​રસ્તાની આ સમસ્યામાં માત્ર લેવલિંગ જ નહીં, પણ આયોજનનો પણ અભાવ જોવા મળે છે. માધવી પારેખ નામના રહીશે જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ક્યારેક ગેસ લાઇન, ક્યારેક પાણીની લાઇન તો ક્યારેક ગટરના નામે સતત ખોદકામ ચાલતું રહે છે. એક વાર રસ્તો સરખો થાય એટલે થોડા દિવસમાં ફરી કોઈ ને કોઈ બહાને તેને ખોદી નાખવામાં આવે છે. તેમણે પોતાનો કડવો અનુભવ શેર કરતા કહ્યું કે, રસ્તો ખોદાયેલો હોવાથી વૈકલ્પિક માર્ગે જતા તેઓ પોતે ખાડામાં પડ્યા હતા. આ પ્રકારની બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકે છે. તંત્ર માત્ર કાગળ પર વિકાસના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. ​બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ શાસક પક્ષ ભાજપ અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓની યાદશક્તિ કદાચ નબળી પડી ગઈ છે, તેમને હવે 'કાજુ-બદામ' ખવડાવવાની જરૂર છે જેથી તેમને યાદ રહે કે કયા રસ્તાઓ હમણાં જ બન્યા છે અને કયા તોડવાના છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢમાં નવા રસ્તા બનાવીને તેને ટૂંકા ગાળામાં તોડી નાખવાની એક પરંપરા બની ગઈ છે, જે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટેની રમત છે. જે વોર્ડમાં ખુદ બાંધકામ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય જેવા જવાબદાર નેતાઓ રહેતા હોય, ત્યાં જ જો આવા ભ્રષ્ટ કામો થતા હોય તો સામાન્ય જનતાએ કોની પાસે અપેક્ષા રાખવી ? વિપક્ષી નેતા લલિત પરસાણાએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ વારંવાર સૂચના આપી છે કે તમામ ભૂગર્ભ કામો જેવા કે ગટર અને પાણીની પાઈપલાઈન પૂર્ણ થયા પછી જ રસ્તાઓ બનાવવા જોઈએ, જેથી જનતાના પૈસાનો બગાડ ન થાય. છતાં જૂનાગઢમાં મુખ્યમંત્રીના આદેશોને નેવે મૂકીને આડેધડ કામો કરવામાં આવી રહ્યા છે. અગાઉ કરોડોના ખર્ચે બનેલી સ્ટોર્મ વોટર ગટરને તોડીને હવે ત્યાં ફરીથી ગટર નાખવામાં આવી રહી છે. આ માત્ર ભ્રષ્ટાચારની મિલીભગત છે.પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવી મોંઘીદાટ એજન્સીઓ રાખવા છતાં જો રસ્તાના લેવલ ન જળવાતા હોય, તો આવી એજન્સીઓનો પગાર જનતાના ખિસ્સામાંથી શા માટે ચૂકવવો જોઈએ ? ​હાલ તો ગિરીરાજ હોસ્પિટલ પાસેનો આ રોડ ખોદાયેલી હાલતમાં પડ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ ખાતરી આપી છે કે આગામી 10 થી 15 દિવસમાં યોગ્ય ઢાળ સાથે નવો રોડ તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ જનતા હવે આ ખાતરીઓથી કંટાળી ગઈ છે. લોકોનો પ્રશ્ન એ છે કે જે ભૂલ એન્જિનિયરોએ કરી, તેની સજા જનતા શા માટે ભોગવે? અને જે પૈસાનો બગાડ થયો તેની વસૂલાત જવાબદાર અધિકારીઓ પાસેથી કેમ કરવામાં આવતી નથી ? જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા પોતાનો રોષ ઠાલવી રહી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી ચોમાસામાં જૂનાગઢ મહાનગરપાલિકાએ જનતાના રોષનો ભોગ બનવું પડશે તે નક્કી છે. વિકાસના નામે થતા આ પ્રકારના વહીવટી લોચા અને આર્થિક ભ્રષ્ટાચારને કારણે જૂનાગઢ શહેરની છબી ખરડાઈ રહી છે, જેની ગંભીર નોંધ ઉચ્ચ કક્ષાએ લેવી અનિવાર્ય બની છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:47 pm

વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો

ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જોડતોડનું રાજકારણ વધુ તેજ બન્યું છે, ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ડભોઇ તાલુકાના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ હતા પ્રહલાદ પટેલ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ કહેવાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેઓ હારી ગયા હતા. ત્યારે આજરોજ તેઓએ ભાજપમાં જોડાઈને પોતાના રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે., તેઓ સાથે યુવા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું- MLA શૈલેષ મહેતાધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામને આજે ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું. અને તેઓનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:47 pm

જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનું રાજીનામું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમાક્ષીબેન રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું છે. હેમાક્ષીબેન રાદડિયા તેમજ રાહુલ રાદડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ રાજીનામાને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અસંતોષ અને પક્ષપલટાની મોસમ ફરી ખીલશે તેવી અટકળો ચાલી રહી છે. હેમાક્ષીબેન રાદડિયા સાવરકુંડલા તાલુકાની મોટા ઝીંઝુડા જિલ્લા પંચાયત બેઠક પરથી વર્ષ 2021માં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તે પહેલા, તેઓ 2015થી 2020 સુધી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. રાજીનામાના કારણો અંગે હજુ સ્પષ્ટતા નથી. દિવ્યભાસ્કરે હેમાક્ષીબેન રાદડિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન રિસીવ ન થતાં જવાબ મળી શક્યો ન હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને જિલ્લા પંચાયતની ટિકિટ મળવાની શક્યતા ન હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે. સ્થાનિક સ્તરે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:46 pm

રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ

અધ્યાત્મ જગતના તેજસ્વી નક્ષત્ર અને પરમકૃપાળુદેવ તરીકે પૂજિત રાજચંદ્રજીનો આજે 125 મો સમાધિદિન છે. વિક્રમ સંવત 1957 ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર તેમણે દેહત્યાગ કરી સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યું હતું. આ અવસરે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે 4 એપ્રિલ થી 7 એપ્રિલ 2026 દરમિયાન ભવ્ય ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ ઉજવાઈ રહ્યું છે. રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂરરાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ અને વિવિધ આશ્રમોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં હજારો ભાવિકો રૂબરૂ અને લાખો મુમુક્ષુઓ ઓનલાઇન જોડાઈને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે. આ પર્વમાં રાજપરિવારના અગ્રણી સંતો જેવા કે, રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક ગુરુદેવ રાકેશજી, સાયલાના નલીનભાઈ, દિલ્હીના રત્નાપ્રભુ અને કોબા આશ્રમના સુરેશજીની પાવન નિશ્રામાં વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ‘આત્મસિદ્ધિ’ના રચયિતારાજચંદ્રજી માત્ર એક સંત નહોતા, પરંતુ આર્ષ દ્રષ્ટા હતા. તેમણે માત્ર 28 વર્ષની વયે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જે આજે 140 થી વધુ ભાષાઓમાં અનૂદિત થઈ વિશ્વભરના જિજ્ઞાસુઓને માર્ગ બતાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાં સત્ય અને અહિંસાના બીજ રોપનાર અને તેમના ચારિત્ર્યનું ઘડતર કરનાર રાજચંદ્રજી જ હતા. ગાંધીજીએ તેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. વૈશ્વિક સ્તરે પ્રસ્તુત અને પ્રાસંગિક વિચારધારારાજચંદ્રજીનું જીવન અને ‘વચનામૃત’ ગ્રંથ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ યુવાનોને તેમના જીવન પર સંશોધન કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પર્વમાં હાજરી આપી જણાવ્યું હતું કે, આ અવસર માત્ર સ્મરણનો નથી પણ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો છે. આજે વિશ્વભરમાં તેમના નામે હોસ્પિટલો, શાળાઓ, એનિમલ સેન્ટર્સ અને યુનિવર્સિટી ચેર કાર્યરત છે, જે તેમના ‘સર્વજીવ હિત’ના સંદેશને સાર્થક કરે છે. મહોત્સવનું ભવ્ય સમાપનઆ ચાર દિવસીય પર્વમાં નાટ્ય પ્રસ્તુતિ, શોભાયાત્રા અને અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. આજે સમાધિદિનના અંતિમ દિવસે સવારે 10.30 થી 12.30 દરમિયાન ગુરૂદેવ રાકેશજી અને ત્યારબાદ નલિનભાઈના પ્રેરક પ્રવચનો યોજાશે. બપોરે 2.00 થી 3.00 ના સમયે, જે ક્ષણે તેમણે મહાપ્રયાણ કર્યું હતું, તે સમયે ભાવવાહી ભક્તિ અને મહાઆરતી સાથે આ દિવ્ય પર્વનું સમાપન થશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:43 pm

સાબરકાંઠા LCBએ NDPS આરોપીને ઝડપ્યો:એક વર્ષથી ફરાર માલજી ડાભીની ધરપકડ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ

સાબરકાંઠા LCB એ NDPS ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી માલજીભાઈ મેઘાભાઈ ડાભી (ઉંમર 39) ને ઝડપી પાડ્યો છે. આરોપીને તેના ઘરેથી પકડીને પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. LCB PI ડી.સી.સાકરીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન, જશુભાઈ અને નિલેષકુમારને મળેલી બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં વોન્ટેડ માલજીભાઈ ડાભી, જે લાખીયા (નાની સોનગઢ), તા.પોશીના, જી.સાબરકાંઠાનો રહેવાસી છે, તેને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:32 pm

વલસાડમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ:અધિક કલેક્ટરે નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરૂ માર્ગદર્શન આપ્યું

વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે આ બેઠક મળી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મતદાર યાદી, EVM, ચૂંટણીલક્ષી તાલીમ, આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ પર દેખરેખ, મતદાન જાગૃતિ, મતદાન સામગ્રી, વાહન વ્યવસ્થા અને પોલીંગ સ્ટાફ તેમજ મેનપાવર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અધિક જિલ્લા કલેક્ટર ચુડાસમાએ સંબંધિત નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના નોડલ એ.કે. કલસરીયા, EVM નોડલ એન.એન. પટેલ, ચૂંટણીલક્ષી તાલીમના નોડલ પારૂલ પટેલ, કાયદો અને વ્યવસ્થાના નોડલ ભાર્ગવ પંડયા, ચૂંટણી ખર્ચ દેખરેખના નોડલ એ.સી. ધોરાજીયા, મતદાન જાગૃતિના નોડલ ડી.બી. વસાવા, મતદાન સામગ્રીના નોડલ વાય.ટી. પાવાગઢી અને કોમ્પ્યુટર રાઈઝેશનના નોડલ લતાબેન પટેલ સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:27 pm

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ બે મહિને ઝડપાયો:આરોપી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં હતો, પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી દબોચ્યો

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે મહિનાની સઘન તપાસ બાદ, વેડ રોડ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર 19 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને મધ્યપ્રદેશ ભગાડી જવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે પંડોળ ફુલવાડી વિસ્તારમાંથી તેને દબોચી લીધો હતો. શું છે સમગ્ર મામલો?ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ વેડ રોડ પર આવેલી ત્રિલોક સોસાયટીમાંથી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના અંદાજે 50 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસને શંકાસ્પદ શખ્સનું નામ 'ગુરુ' હોવાનું અને તેનું લોકેશન બારડોલીથી સુરતના પંડોળ ફુલવાડી વિસ્તાર તરફ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મી ઢબે ઓપરેશન અને ધરપકડપોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગુરુ તેના મિત્ર પાસે પૈસા લેવા માટે ફુલવાડી વિસ્તારમાં આવવાનો છે અને ત્યાંથી સગીરાને લઈને મધ્યપ્રદેશ નાસી જવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે જીલાની બ્રીજ પાસે વોચ ગોઠવી હતી અને આરોપી ત્યાં પહોંચતા જ તેને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ ગુરુકુમાર ગોવિંદ શાહ (ઉ.વ. 19) તરીકે થઈ છે. તે મૂળ બિહારના શિવાન જિલ્લાનો રહેવાસી છે અને સુરતમાં છાપરાભાઠા રોડ પર મજૂરી કામ કરતો હતો. પૂછપરછમાં તેણે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી છે. આરોપીને પોક્સો એક્ટ હેઠળ જેલભેગો કર્યોચોકબજાર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 65(2), 64 તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. આ સફળ ઓપરેશનમાં પી.એસ.આઈ. વી.ટી. ડોડીયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:17 pm

સુરતમાં UCC બિલનો ઉગ્ર વિરોધ:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું, કાયદો રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર થયેલા 'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026' (UCC) બિલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે સુરત ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિએ આ કાયદાને ગેરબંધારણીય, લઘુમતી વિરોધી અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો દાવોસમિતિના જણાવ્યા અનુસાર, ભારતીય બંધારણના આર્ટિકલ 25 હેઠળ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. મુસ્લિમ સમુદાય માટે નિકાહ, તલાક અને મિલકતની વહેંચણી જેવા પારિવારિક વિષયો પવિત્ર કુરાન અને શરીયતના આદેશો મુજબ ચાલે છે. UCC ના અમલીકરણથી આ વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓમાં સીધી દખલગીરી થશે, જે મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નાર્થઆવેદનપત્રમાં સરકારની 'સમાનતા'ની વ્યાખ્યા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમિતિનો આક્ષેપ છે કે, આ કાયદામાંથી આર્ટિકલ 342 અને 366 હેઠળ અનુસૂચિત આદિજાતિ (ST) ને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે એક મોટા વર્ગને મુક્તિ આપવામાં આવે, ત્યારે તે 'યુનિફોર્મ' એટલે કે સમાન નાગરિક સંહિતા રહી શકતી નથી. આ જોગવાઈ આર્ટિકલ 14 (કાયદા સમક્ષ સમાનતા) ના સિદ્ધાંત વિરુદ્ધ છે અને માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી હોય તેમ જણાય છે. લિવ-ઈન રિલેશનશિપ સામે સામાજિક આક્રોશબિલમાં લિવ-ઈન રિલેશનશિપની નોંધણી અને તેને કાનૂની માન્યતા આપવાની જોગવાઈ સામે પણ ભારે રોષ જોવા મળ્યો છે. અસલમ સાયકલવાલા અને અન્ય અગ્રણીઓએ આ જોગવાઈને 'વ્યભિચાર' સમાન ગણાવીને ભારતીય સંસ્કૃતિ તથા લગ્ન જેવી પવિત્ર સંસ્થા માટે ખતરો ગણાવી છે. આ જોગવાઈ સામાજિક માળખું તોડવાનો પ્રયાસ હોવાનો દાવો સમિતિ દ્વારા કરાયો છે. કાનૂની લડત અને ભવિષ્યની રણનીતિમૌલાના ખાદીમ લાલપુરી અને એડવોકેટ મોહમ્મદ આરિફ અંસારીએ જણાવ્યું હતું કે, આ કાયદો 'અલ્ટ્રા વાયરસ' (સંવિધાન વિરુદ્ધ) છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ કાયદાઓ હોવાથી રાષ્ટ્રીય સ્તરની એકરૂપતાનો અભાવ દેખાય છે. જો સરકાર આ બિલ પાછું નહીં ખેંચે, તો સમિતિ સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરવાની સાથે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કાયદાકીય લડાઈ લડવા પણ મક્કમ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:09 pm

સાબરકાંઠાના 4 જળાશયોમાંથી રવિ સિઝનનું પાંચમું પાણ પૂર્ણ:હાથમતી પિકઅપ વિયર ખાલી, પાણીનો વપરાશ અને વર્તમાન સ્થિતિ જાહેર

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે ચાર મુખ્ય જળાશયોમાંથી સિંચાઈના પાંચ પાણ પૂર્ણ થયા છે. દિવાળી બાદ શરૂ થયેલ પાણી વિતરણ એપ્રિલ મહિનામાં સમાપ્ત થયું છે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી, ગુહાઈ, હરણાવ અને ખેડવા જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મુજબ જળવિતરણ કરવામાં આવ્યું. પાંચ પાણ પૂર્ણ થતાં હાથમતી જળાશયમાંથી પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે, હિંમતનગર નજીક આવેલો હાથમતી પિકઅપ વિયર ખાલી થઈ ગયો છે. સિંચાઈના પાંચ પાણ દરમિયાન જળાશયોમાંથી થયેલા પાણીના વપરાશની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ગુહાઈ જળાશયમાંથી 28 ટકા, હાથમતીમાંથી 28 ટકા, હરણાવમાંથી 49 ટકા અને ખેડવામાંથી 58 ટકા પાણીનો ઉપયોગ થયો છે. ગત વર્ષે 15 ઓક્ટોબર, 2025ના રોજ આ જળાશયોમાં પાણીની સ્થિતિ નીચે મુજબ હતી: ગુહાઈ 97 ટકા, હાથમતી 100 ટકા, હરણાવ 100 ટકા અને ખેડવા 76 ટકા ભરાયા હતા. તાજેતરમાં 6 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલ માહિતી મુજબ, જળાશયોમાં પાણીનો સંગ્રહ આ પ્રમાણે છે: ગુહાઈ 69 ટકા, હાથમતી 72 ટકા, હરણાવ 51 ટકા અને ખેડવા 18 ટકા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:08 pm

મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:નવસારીના વોર્ડ 13ની ટિકિટ ફાળવણીમાં ‘પરિવારવાદ’નો વિરોધ, સક્ષમ અને નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માગ

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને આંતરિક વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ નગરસેવક અને પૂર્વ ચીફ ઓફિસરના પરિવારજનોને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વિરોધના ભાગરૂપે, વોર્ડ નંબર 13ના 10થી વધુ સક્રિય કાર્યકરોએ ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે પહોંચી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ચહેરાઓને જનતા ઓળખતી નથી, તેમને ટિકિટ આપવાથી પક્ષને નુકસાન થઈ શકે છે. કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો વિવાદિત કે અજાણ્યા નામો જાહેર કરાશે, તો પક્ષે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. કાર્યકરોનો મુખ્ય આક્રોશ એ વાત પર કેન્દ્રિત છે કે, જે પરિવારો 30 વર્ષથી પંચાયત અને નગરપાલિકામાં સત્તા ભોગવી રહ્યા છે, તેમને જ ફરીથી ટિકિટ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે નવા અને સક્ષમ યુવાનોને તક આપવાને બદલે પરિવારવાદને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક સ્તરે જનતામાં જેની કોઈ ઓળખ નથી તેવા ઉમેદવારોને લાદવામાં આવી રહ્યા છે. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના પક્ષના ભવિષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. અસંતુષ્ટ કાર્યકરોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા કહ્યું કે, જનતા મોદી અને યોગીના નામે વોટ આપે છે તે સાચું છે, પરંતુ જો ઉમેદવાર સક્ષમ નહીં હોય તો મતદારોમાં નકારાત્મક સંદેશ જશે. અમને ગામના વિકાસ માટે સ્થાનિક અને નિષ્ઠાવાન ચહેરા જોઈએ છે. નવસારીમાં ભાજપના આ આંતરિક વિખવાદને કારણે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ જટિલ બની છે. ધારાસભ્ય રાકેશ દેસાઈએ કાર્યકરોની રજૂઆત સાંભળીને યોગ્ય ન્યાયની ખાતરી આપી છે. જોકે, હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કાર્યકરોની લાગણીઓને માન્ય રાખે છે કે પછી જૂના નેતાઓના પરિવારજનોને જ ટિકિટ આપે છે. ચૂંટણીના માહોલમાં કાર્યકરોની આ નારાજગી અન્ય વોર્ડમાં પણ પ્રસરી શકે તેવી શક્યતાને જોતા ભાજપ સંગઠન સક્રિય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:02 pm

પાલિકા-પંચાયત ચૂંટણી, AAPની પાંચમી યાદી જાહેર:મહાનગરપાલિકાના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના ઉમેદવાર જાહેર

26 એપ્રિલે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. અલગ-અલગ મહાનગરપાલિાક માટે જાહેર કરાયેલા ઉમેદવાર વિવિધ નગરપાલિકા માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ વિવિધ તાલુકા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ વિવિધ જિલ્લા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 6:00 pm

મહાનગરપાલિકાના નામોની યાદી આજે તૈયાર થઇ જશે:ભાજપના ઉમેદવારોની યાદી એક બે દિવસમાં જાહેર થાય એવી શક્યતા, પેનલમાં નામ હશે તેઓને ગાંધીનગર બોલાવવાની તૈયારી

વડોદરા મહાનગરપાલિકાની ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે ફાઇનલ યાદી તૈયાર કરી દેવામાં આવશે.આજે પ્રદેશ કક્ષાએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જે બાદ વડોદરામાં પણ પ્રદેશ કક્ષાએથી ખાસ નિરીક્ષકો આવીને સેન્સ પ્રક્રિયા દરમિયાન તૈયાર થયેલી યાદીમાંથી ફાઇનલ નામો તૈયાર કરશે તેવી માહિતી હતી. જોકે, જે દાવેદારોના નામ પેનલમાં હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી એક બે દિવસમાં નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. નિરીક્ષકો નામોની છણાવટ કરશેવડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપ દ્વારા બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલી હતી જેમાં ચાર ઝોનમાં દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાંથી હવે છણાવટ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આજે મોડી સાંજે વડોદરા શહેરમાં નિરીક્ષકો વડોદરા આવવાના હતા. જો કે કોઈક કારણોસર અંતિમ ક્ષણે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે. ત્યારે જેઓના પેનલમાં નામો હશે તેઓને ગાંધીનગર ખાતે બોલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અને ત્યાર બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપમાંથી 1434 જેટલા દાવેદારોવડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક માટે ભાજપમાંથી 1434 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકો દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ હવે પ્રદેશમાંથી નક્કી થયેલા નિરીક્ષકો ફાઇનલ પેનલ નક્કી કરશે. જાણવા મળ્યા મુજબ આ નિરીક્ષકોમાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સહપ્રભારી અને પ્રભારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક-બે દિવસમાં યાદી જાહેર કરાય એવી શક્યતાભાજપ દ્વારા આગામી એક બે દિવસમાં પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લગભગ નક્કી થઇ ગયું છે અને તેના આધારે નિરીક્ષકો દ્વારા પણ કામગીરી આગળ ધપાવવામાં આવશે ત્યારે ભાજપના દાવેદારોએ પણ પોતાના રાજકીય ગુરુઓના ચરણ સ્પર્શ કરી દીધા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:43 pm

લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:રાજકોટમાં મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે સબંધીના ઘરે લઇ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી હું પરિણીત છું કહી તરછોડી દીધી

રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી તરછોડી દેતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે રસ્તામાં ચાલી જતી યુવતીને નંબરની કાપલી આપી સંપર્ક કર્યો બાદમાં હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં ત્રણ દિવસ પહેલા યુવતીને ભગાડી સબંધીને ઘરે લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચરી બીજા દિવસે હું પરિણીત છું, તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને તરછોડી દિધી હતી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ ઈબ્રાહીમ નોતીયારનું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી માતા પિતા સાથે રહી ઘરકામ કરે છે. 6 મહિના પહેલા બપોરના 11 વાગ્યા આસપાસ તે ઘરેથી દાદીના ઘરે જતી હતી ત્યારે ભવાની ચોકમાં રોડ ઉપર એક છોકરો ઉભો હતો તેને એક કાગળ આપ્યો જે ખોલી જોતા તેમાં મોબાઇલ નંબર હતા. બે ત્રણ દિવસ બાદ મમ્મીના ફોનમાંથી કાગળની કાપલીમાં લખેલા મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો અને તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, તેનુ નામ સોહીલ ઇબ્રાહિમ નોતીયાર હોવાનું અને પોતે માંડાડુંગરમાં રહેતો હોવાનુ જણાવ્યું હતું તેમજ પોતાને ભાવાની ચોકમાં એ.પી.મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગ કરવાની દુકાન હોવાનુ જણાવ્યું હતુ. ત્યાર બાદ બંને ફોનમાં અવાર નવાર વાતચીત કરતા હતા. બંનેને મિત્રતા થઇ અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો તેમજ સોહીલ તેને મળવા દુકાને બોલાવતો. 15 દિવસ પહેલા સોહીલે તેની દુકાને બોલાવી મોબાઇલ ફોન આપ્યો હતો તેમાં પણ વાતચીત કરતા. ત્યાર બાદ ગઇ તા.27.03.2026ના ફોનમાં વાતચીત કરતાની જાણ ઘરે થતા તેના પિતાએ ઠપકો આપી ફોન તોડી નાખ્યો હતો, ત્યાર બાદ આ વાત સોહીલને કરતા તારા ઘરે કોઈ ન હોય ત્યારે નીકળી જાજે અને મારી પાસે આવતી રહેજે તેમ વાત કરી હતી. ત્યાર બાદ ગઈ તા.31.03.2026ના રાત્રીના 8 વાગ્યે ઘરે કોઈ ન હોય જેથી ઘરેથી નીકળી અને બહાર જઈ સોહીલને ફોન કર્યો જેથી તેને કહ્યું કે તું પ્રણામી ચોકમાં આવી જા હું ત્યાં આવુ છું, જેથી તેણી પ્રણામી ચોકમાં ગઈ અને થોડીવાર પછી આ સોહીલ બાઈક લઈને આવ્યો હતો. માંડાડુંગર ભીમરાવનગર ખાતે તેઓના કોઈ સગાને ત્યા લઇ ગયો અને ત્યા રાત્રીના 11 વાગ્યા આસપાસ સોહીલે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી તેણીના કપડા ઉતારી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તે જ રાત્રી દરમ્યાન આવી રીતે સોહીલે કુલ ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે બપોરે 3 વાગ્યે સોહીલે કહ્યું કે, તુ તારા ઘરે જતી રહે, મારા લગ્ન અગાઉથી થઇ ગયેલ છે, જેથી હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં તેમ કહી ત્યાથી મોકલી દીધી હતી જેથી તેણી ઘરે આવતી રહી અને ઘરે આવી મમ્મી પપ્પાને તેણી સાથે બનેલ બનાવની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:40 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઢોંસાએ બે બાળકોનો જીવ લોધી, માતા-પિતા સારવાર હેઠળ; પિતાએ દીકરીની સામે જ માતાને બેટથી ફટકારી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સિંગણપોર-ડભોલીમાં લગ્નના એક વર્ષમાં જ દંપતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:30 pm

અમીપરામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો:રેલવે સ્ટેશન રોડ પરથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, ₹21,290ની રોકડ જપ્ત

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન રોડ પર આવેલા અમીપરા વિસ્તારમાં દરોડો પાડી, જાહેર જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યોનિલમબાગ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે અમીપરા વિસ્તારમાં રામ સાયકલ સામેની ગલીમાં કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત સ્થળ પર રેડ કરતા, ગોળ કુંડાળું વળી હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોના નામપોલીસે સ્થળ પરથી નીચે મુજબના વ્યક્તિઓની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:29 pm

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ:6 થી 11 એપ્રિલ સુધી નોંધણી, 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ, આજે 6 એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. નગરપાલિકાના ઉમેદવારીપત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દૃશ્ય પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામોની જાહેરાત બાકી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારીપત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:17 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની નવી સ્ટ્રેટેજી:50%થી વધુ નવા ચહેરા, ઝોન-વોર્ડ વાઈઝ મંથન તેજ; પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકથી અંતિમ મહોર

સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપે સ્પષ્ટ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. હાલમાં ઝોન વાઈઝ અને વોર્ડ વાઈઝ બેઠકઓ યોજાઈ રહી છે, જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્યમાહિતી મુજબ, ભાજપ આ વખતે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. સાથે જ લગભગ 30 ટકા વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવશે, જ્યારે 20 ટકા સંપૂર્ણ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજના છે. દરેક ઝોનમાંથી નક્કી થયેલા નામોને પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના નામ પર મહોર મારાશે. કાલથી 3 દિવસીય પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકઆવતી કાલથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થવાની છે, જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે. આ બેઠકમાં તમામ બેઠકો પર ચર્ચા કરીને તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ભાજપની આ નવી સ્ટ્રેટેજી દ્વારા ચૂંટણીમાં નવી તાજગી અને જીતનો આત્મવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:15 pm

'કોંગ્રેસ પ્રમુખ ખડગેને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે CMનો કટાક્ષ સાથે આક્રમક પ્રહાર, કહ્યું- 'ગુજરાતની જનતા આનો જવાબ આપશે'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક ચૂંટણી રેલીમાં ગુજરાતના લોકોને ‘અભણ’ કહીને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં તોફાન મચી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને “અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ” ગણાવીને કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધતા CMએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી.” બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા પ્રહાર કરતાં ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” અને “ગુજરાતીઓ પ્રત્યે નફરત” તરીકે વર્ણવ્યું હતું. તેમણે કોંગ્રેસને જાહેર માફી માગવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે. ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન આ સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરીને પણ જણાવ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓ સમગ્ર ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓના ગૌરવ પર પ્રહાર સમાન છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પવિત્ર ધરતી પર આવા શબ્દો અસ્વીકાર્ય છે. ગુજરાત હંમેશા દેશના વિકાસ અને એકતામાં અગ્રણીઓમાં રહ્યું છે અને નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને મળતું જનસમર્થન જોઈ કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, પરંતુ ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે. कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं। इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस…— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026 'ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી'મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને જુસ્સો અને સંયમ જાળવીને આગળ વધવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ભલે બે સીટ આવી હોય તો પણ અમે હલબલ્યા નથી. અમારો જુસ્સો અને વિચારધારા અમારો મૂળ આધાર છે. કાર્યકર્તાઓ સાથે મજાક કરતાં તેમણે કહ્યું કે, સામે બેઠેલા માત્ર કાર્યકર્તાઓ નથી, અમે પણ કાર્યકર્તાઓ જ છીએ અને આપણે કોઈને ઓર્ડર આપી દઈએ કે પોસ્ટર લગાવી દે જો અને પોસ્ટર લાગી પણ જાય છે. અહીંયા બેઠેલા બધા એટલા માટે હસે છે કે પહેલા તપેલું લઈને જતા અને પછી પોસ્ટર લગાડતા એટલે એ આનંદ જુદો હતો. પાછું નાસ્તાના પૈસા ના હોય એટલે કોઈના ઘરેથી મમરા વઘાર્યા હોય, સીંગ-દાળીયા લઈને રાત્રિના સમયે કામ કરતા અને ત્રણ-ચાર જણા સાથે ખાઈને રાત્રે 2-3 વાગે પોસ્ટરો લગાડતા. 'લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી' વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, જેમ-જેમ લોકોને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતાં નથી ત્યારે જે લોકો બુમો પાડે છે, તે ખામીઓ શોધવામાં લાગી જાય છે. ખામીઓ શોધીને તેમાંથી આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામીઓ થવાની જ ને અને કામ ના કરીએ તો ખામીઓ કેવી રીતે થાય? એટલે તેમની ખામીઓ નથી કેમ કે તેઓ કામ જ નથી કરતા અને આપણી ખામીઓ લઈને દોડે છે. 'આપણે બધા ભણેલા-ગણેલા છીએ એ કોંગ્રેસ પ્રમુખને ખબર નથી'બહેનો કાર્યકર્તાઓની મોટી ભીડ જોઈને રમૂજ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 33 ટકા અનામત લાવ્યા છે તેનો લાભ બહેનો લઈ રહી છે અને તે અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વાજબી છે. અહીંયા આવો તો હા પાડવા થાય ને કે હા મેં જોયા છે, દરેક વખતે આવે છે એવું કહેવાનું થાય ને આપણે બધાને પ્રેક્ટિસ હોય છે. આપણે બધા ભણેલા-ગણેલા છીએ અને એ તો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને ખબર નથી. આપણે કેટલાય લોકોની હાજરી પુરાવી દીધી છે, કોલેજમાં મિત્રો માટે હાજરી આપી છે, એકબીજાનું સાચવીએ છીએ. ભલે પક્ષમાં પ્રમુખ તરીકે આપણું નામ ના આવે તો ઝઘડીએ એ વાત જુદી છે, એ તો આપણી વચ્ચેનો હક્ક છે જેમ ઘરમાં પણ થતો હોય છે. 'હાલ એવો સમય નથી કે રાજકારણ થાય'વધુમાં તેઓએ જણાવ્યું કે, અત્યારે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ છે, છતાં આપણી પાસે સારું નેતૃત્વ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણી પરિસ્થિતિ પર પુરતું ધ્યાન રાખે છે અને તેના આધારે અમને પણ રાહત મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે તે માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ધ્યાન આપવામાં આવ્યું છે. હવે ધીરજ રાખવાનો સમય છે અને કોઈપણ પરિસ્થિતિમાં આપણો સંયમ ગુમાવવો નહીં, કારણ કે અફવા ફેલાવીને પણ આપણને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય છે અને એ લોકો હજુ સમજ નથી કે, હાલ એવો સમય નથી કે રાજકારણ થાય છતાં પણ રાજકારણ કરે છે. વધુમાં જણાવ્યું કે, હમણાં વિપક્ષના ધારાસભ્યો મળવા આવ્યા હતા અને સરકાર તરફથી હેરાનગતિ થાય છે એવી રજુઆત કરી હતી. ત્યારે મેં તેમને કહ્યું કે અન્ય રાજ્યોમાં જ્યાં તમારું શાસન છે ત્યાં ભાજપ સાથે કેવી વર્તણૂક થાય છે તે જોયું છે ખરા? તમે થોડા લોકો ભેગા થઈને મંડ્યા છો અને તમને લાગે છે કે, અમે 162 લોકો એમને એમ બેસી રહીશું? સરકાર તો સરકાર જ રહે, ભૂપેન્દ્રભાઈ ખમવાની તાકાત વધારે હોય તો બે ઝટકા વધારે ખાધા પછી સરકાર થાય પરંતુ, સરકારમાં આઘું-પાછું કંઈ ચાલતું નથી, અંતે સરકાર પોતાનો દમ બતાવે જ છે. કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છેઆ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખડગેના નિવેદનને “કોંગ્રેસની બીમાર માનસિકતા” ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસના DNAમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત ભરેલી છે. આ નિવેદન કોંગ્રેસની હાર અને નિરાશાનું પ્રતિબિંબ છે અને રાજ્યની જનતાએ આવા નિવેદનોથી ડરવાની જરૂર નથી. તેમણે કોંગ્રેસને પડકાર આપ્યો કે, તેઓ ગુજરાતીઓ પ્રત્યેની નફરત વિશે સ્પષ્ટતા કરે અને માફી માગે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે ખડગેનું આ નિવેદન તેમના પોતાના વિચારો છે કે પછી રાહુલ ગાંધી અથવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તૈયાર કરાવ્યું છે. આ સાથે જ રાજ્યની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કોંગ્રેસને જાહેર માફી માંગવાની માંગ ઉઠી રહી છે. રાજકીય માહોલ ગરમ બનતા ભાજપે ચેતવણી આપી છે કે, આવનારી ચૂંટણીઓમાં જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:12 pm

બહુચરાજીના શંખલપુર મંદિરના ગેટ પાસેથી ચોરી:દંપતી મંદિરના ગેટ પાસે બાઈક મુકી દર્શન કરવા ગયું, પરત ફરતા વાહન ગાયબ; પોલીસની અજાણ્યા ચોર સામે ફરિયાદ

યાત્રાધમ બહુચરાજીમાં રહેતા અને મંદિરમાં યજમાનવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રદ્ધાળુનું મોટર સાયકલ શંખલપુર બહુચર માતાજીના મંદિર પાસેથી ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગેટ પાસે બાઈક મુકી દંપતી દર્શન કરવા મંદિરમાં ગયુંબહુચરાજીના હરગોવનપુરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રકુમાર ઉમીયાશંકર જાની ગત તારીખ 3 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની સાથે શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર GJ-02-EB-2968 મંદિરના પ્રથમ ગેટ પાસે પાર્ક કર્યું હતું. દંપતી દર્શન કરી અને મેળાની મુલાકાત લઈને રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે પરત ફર્યું ત્યારે પાર્ક કરેલી જગ્યાએ તેમનું વાહન મળી આવ્યું નહોતું. બેચરાજી પોલીસમાં અજાણ્યા ચોર સામે ફરિયાદઆસપાસના વિસ્તારોમાં અને શંખલપુર ગામમાં શોધખોળ કરવા છતાં મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો નહોતો. અંદાજે 50,000 રૂપિયાની કિંમતનું આ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જણાતા અંતે નરેન્દ્રકુમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. બેચરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:10 pm

દાંતામાં વન અધિકારીઓ-પોલીસ ઉપર હુમલાનો કેસ:હાઇકોર્ટે કહ્યું- વહીવટી તંત્રે આદિજાતિઓને સમજાવવાને બદલે ફોર્સની તાકાત બતાવી, 13 એપ્રિલે કોર્ટમાં અધિકારીઓ હાજર રહે

ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. 500 લોકોએ ધારીયા, તલવાર જેવા સાધનોથી હુમલો કર્યોઆ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશેકરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. આરોપીઓએ પોલીસ-વન વિભાગની ફરજમાં રૂકાવટ ઊભી કરીસરકારી વકીલે જણાવ્યું હતું કે, 28 આરોપીઓ સામે નામજોગ અને 500 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 10 જેટલી મહિલાઓનો સમાવેશ થતો હતો. આરોપીઓએ પોલીસ અને વન વિભાગના કર્મચારીઓની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઘટનામાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ ઇજાઓ થઈ હતી. સરકારી વાહનોને સળગાવવામાં આવ્યા હતા. ઝાડ અને પથ્થરોની આડસ મૂકીને વધારાની ફોર્સને મદદ માટે બોલાવતી રોકવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતાજો કે, હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ ઘર્ષણનું કોઈ કારણ ફરિયાદમાં દેખાતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગ્રામજનો સરકારી જમીન ઉપર રોપા વાવવા ઇચ્છતા નહોતા, તેમના કહ્યાં મુજબ આ જમીન તેમની છે અને ગ્રામસભાના ઠરાવ વગર તેઓ રોપા વાવી શકે નહીં. જો કે કોર્ટે કહ્યું હતું કે આટલા મોટા પોલીસ પ્રોટેકશન સાથે વહીવટી તંત્ર ગયું હોય તો કંઈક કારણ હશે! 500 લોકોએ શા માટે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર હુંમલો કર્યો? વળી વહીવટી તંત્ર પણ શા માટે આટલા મોટા પોલીસ ફોર્સ સાથે રોપા વાવવા એક ગામમાં ગયું હતું? વળી તેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર શા માટે પડી? આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છેવહીવટી તંત્ર જાણતું હતું કે, અહીંયા પ્રશ્ન છે, જેથી કરીને જો ફાયરીંગ કરવાની નોબત આવી પડે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હુકમ આપી શકે! હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, આ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક મુદ્દો છે. આ અગાઉ પણ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગ્રામજનોએ રોપા રોપવા અંગે ગ્રામસભાની મંજૂરી લીધી હતી કે કેમ તે સંદર્ભે વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું?કોર્ટે કહ્યું હતું કે, તંત્ર એ પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ મોટી સેના લઈને ગયું હતું. જેથી તેઓ પોતે શક્તિશાળી છે તેમ ગ્રામજનો સામે પ્રસ્થાપિત કરી શકે. આ માહિતીના આદાન પ્રદાનને ગેપ હતો. લોકોને સમજાવવા તંત્રે શું કર્યું? તમે કલેક્ટર જોડે વાત કરી? આ આપણા નાગરિકો છે, તેઓ કાયદો હાથમાં ના લઈ શકે, પરંતુ તમે શક્તિ બતાવવાની કોશિશ કેમ કરી? તમે પોલીસ ફોર્સનો પાવર કેમ બતાવ્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ગોળી ચલાવવાનો પરવાનો લેવા લઈને ગયા હતા? તમે લોકોને શું મેસેજ આપવ માંગતા હતા કે તમે લોકોને મારવા આવ્યા છો? આ તો ભારતના નાગરિકો છે ને? 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરની FIR વચ્ચે તમે શું કર્યું? આ મુદ્દે વધુ સુનાવણી 13 એપ્રિલે રાખવામાં આવી છે, જ્યાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 5:01 pm

LJ યુનિ.માં ફેલિસિટેશન સેરેમની:સમારંભ દરમિયાન 365 વિદ્યાર્થીઓને 28 લાખની સ્કોલરશિપ એનાયત; અતિથિના પ્રેરણાદાયી પ્રવચન

LJIMBA એ સફળતાપૂર્વક એક ભવ્ય ફેલિસિટેશન સેરેમનીનું આયોજન કર્યું, જેમાં તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન દીપક તમોલીએ કહ્યું કે વિચારો કેવી રીતે ક્રિયાઓને આકાર આપે છે અને અંતે પરિણામોને નક્કી કરે છે. તેમણે ચેતન અને અચેતન મનની કાર્યપ્રણાલી અંગે ઊંડા વિચાર રજૂ કર્યા. સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. જેમાં તેમને ₹6,45,000ની શૈક્ષણિક સ્કોલરશિપ તેમજ ₹15,000ના હેકાથોન ઇનામો આપવામાં આવ્યા. પ્રણાલી પટેલે સંબોધનમાં શિસ્ત, સતતતા અને મેનિફેસ્ટેશનના મહત્વ પર ભાર મૂક્યો, જે લાંબા ગાળાની સફળતા માટે આવશ્યક છે. જીતેન્દ્ર લખવાનીએ તેમના ઉદ્યોગસાહસિક સફરના અનુભવો વહેંચ્યા અને કેવી રીતે તેમણે શૂન્યથી સફળ HR કંપની ઉભી કરી તે સમજાવ્યું, જે વિદ્યાર્થીઓને પોતાના સપનાં સાકાર કરવા પ્રેરણા આપે છે. સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 8ના વિદ્યાર્થીઓને પણ તેમના સિદ્ધિઓ માટે સંસ્થાની તરફથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં અનુક્રમે ₹6,70,000 અને ₹3,90,000ની સ્કોલરશિપ આપવામાં આવી. મયૂર પટેલે વિદ્યાર્થીઓને માત્ર પરિણામ પર નહીં પરંતુ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી અને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ આગળ વધતા સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓને પણ ₹8,60,000ની સ્કોલરશિપ આપવામાં આવી. સાથે જ બિઝેસ્ટ અને રોડિસ જેવી સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓના ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા, જેમાં બિઝેસ્ટ માટે ₹1,00,000 અને રોડિઝ માટે ₹22,000ના ઇનામો આપવામાં આવ્યા, જે તેમના શૈક્ષણિક ક્ષેત્રની બહારના ઉત્સાહ અને પ્રયત્નોને માન્યતા આપે છે. આ સમારંભ દરમિયાન 365 વિદ્યાર્થીઓને મળીને ₹28 લાખની સ્કોલરશિપ આપવામાં આવી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:54 pm

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો:ફ્રી બસ સેવા અને ટેક્સમાં રાહત જેવા અનેક વચનો, માડમે કહ્યું- આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય ના સૂત્ર સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરીજનોને અનેક આકર્ષક વચનો આપવામાં આવ્યા છે. પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ માત્ર વચનપત્ર નથી પરંતુ જનતા સાથેનું મજબૂત કમિટમેન્ટ છે, જેનો અમલ સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવશે. મેનિફેસ્ટોમાં શું શું કહેવાયું?પાણી અને સ્વચ્છતા: શહેરમાં દરરોજ 2 વખત સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન અલગ કરવાની વ્યવસ્થા તેમજ દરરોજ ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની કામગીરી સુનિશ્ચિત કરાશે. આંતરમાળખાકીય સુવિધા: વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને જામનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન અપાયું છે. આવાસ અને રોજગાર: સ્લમ વિસ્તારોમાં પહેલા પુનર્વસન, પછી ડિમોલિશન નીતિ અમલી બનશે. આ ઉપરાંત કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય: મહાનગરપાલિકાની શાળાઓનું આધુનિકરણ કરી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવશે. નવા હેલ્થ સેન્ટરો સાથે 24 કલાક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાશે. પરિવહન અને રાહત: મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ પ્રોપર્ટી ટેક્સના દરોમાં રાહત આપવાની જાહેરાત કરાઈ છે. ડિજિટલ સેવાઓ પર ભારકોંગ્રેસે JMC ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમામ વહીવટી સેવાઓને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો સંકલ્પ કર્યો છે. નાના ધંધાર્થીઓને કાયદેસરના લાયસન્સ આપી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. અગ્રણીઓની ઉપસ્થિતિઆ સંકલ્પ પત્રની જાહેરાત પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદા, મંત્રી ભરત વાળા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસે જનતા પાસે સમર્થન માંગ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:50 pm

ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

Iran Rejects Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલાની ધમકી આપી છે. એવામાં બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં રહેલા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સત્તાવાર રીતે ઠુકરાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દેશના દબાણ કે ધમકી હેઠળ આવીને ડીલ કરશે નહીં.

ગુજરાત સમાચાર 6 Apr 2026 4:49 pm

વેરાવળમાં પ્રિ-મોન્સુન સમારકામ:આવતીકાલે સવારે 8થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સુન સમારકામના કારણે આવતીકાલે, 7 એપ્રિલ 2026, મંગળવારે વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી 11 કેવી ટાવર ફીડર પર મરામત કામગીરી હાથ ધરાશે, જેનાથી શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થશે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા જાહેર કરાયા મુજબ, રેયોન હાઉસિંગ સોસાયટી, આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટી, સલાટ સોસાયટી, કલ્યાણ સોસાયટી, કોડીવાડા વિસ્તાર, પ્રકાશ કોમ્પ્લેક્સ, સાઈનાથ કોમ્પ્લેક્સ, 80 ફુટ રોડ અને બેંક કોલોની સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર પડશે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન વીજ પુરવઠો સ્થિર અને અવરોધમુક્ત રહે તે માટે પ્રિ-મોન્સુન સમારકામ અત્યંત જરૂરી છે. આ કામગીરી દ્વારા વીજ લાઇન, સાધનો અને ફીડરોની તપાસ તથા મરામત કરવામાં આવે છે, જેથી ભારે વરસાદ અને પવનથી થતા વિક્ષેપો ઘટાડી શકાય. વીજ વિભાગે નાગરિકોને આગોતરું આયોજન કરવા અને જરૂરી ઇલેક્ટ્રિકલ કામકાજ સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે, તેથી સાવચેતી રાખવા પણ સૂચના અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:34 pm

સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ઘરની બહાર સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કુલ રૂ. 1,05,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય છે. સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીપરાળા ગામના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા તેમના પત્ની રત્નાબાઈ સાથે રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. રાત્રિના 10:00 વાગ્યાથી વહેલી સવારના 02:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. ચોરોએ દાનસંગજીના શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 45,000 રોકડા અને તેમના પત્ની રત્નાબાઈના ગળામાં પહેરેલી આશરે રૂ. 60,000ની કિંમતની સોનાની ચેનની ચોરી કરી હતી. રાત્રિના આશરે બે વાગ્યે દંપતી જાગી જતાં તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા હતા. વૃદ્ધ હોવાને કારણે દંપતી ચોરોનો પીછો કરી શક્યું ન હતું. સવારે તપાસ કરતાં ઘરની પાછળના રણ વિસ્તારમાં મોટરસાયકલના ટાયરના નિશાન મળી આવ્યા હતા. આ બનાવ અંગે દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને જાણ કરી હતી. પુત્ર પીપરાળા આવી પિતા સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:34 pm

પાટણ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ:દસ્તાવેજો અને પુરાવાની યાદી જાહેર, શૌચાલય, બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત 19 મુદ્દાઓનો સમાવેશ

પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સોગંદનામાથી લઈને શૌચાલય અને બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત કુલ 19 મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉમેદવારે નિયત નમૂના નંબર 3 મુજબના ઉમેદવારી પત્ર સાથે ભાગ-8 મુજબનું સોગંદનામું રજૂ કરવું પડશે. ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોડવી ફરજિયાત છે. વય મર્યાદાની ચકાસણી માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત, ઉમેદવારે બે બાળકો અંગેનું એકરારનામું તથા ઘરે ફલશ જાજરુ ધરાવતા હોવા અંગેનું એકરારનામું અને નગરપાલિકાનો તે અંગેનો દાખલો રજૂ કરવો પડશે. ઉમેદવારે નગરપાલિકામાં કોઈ પણ પ્રકારનું લ્હેણું બાકી ન હોવા અંગેનું નો-ડ્યુ સર્ટિફિકેટ અને પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલ કોઈ પણ ગુનામાં સંડોવાયેલ ન હોવાનો દાખલો પણ ફોર્મ સાથે જોડવો પડશે. અનામત બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા SC, ST અને OBC ઉમેદવારોએ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આપવાની રહેશે. ડિપોઝિટની રકમ પેટે સામાન્ય કેટેગરીના ઉમેદવારે 2000 રૂપિયા અને સ્ત્રી તેમજ અનામત વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો ઉમેદવાર કોઈ રાજકીય પક્ષ તરફથી લડતા હોય તો નિયત નમૂના નંબર ‘ક’ અને ‘ખ’ મુજબ મેન્ડેટ રજૂ કરવું પડશે. ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ પણ સામેલ કરવાની રહેશે. વધારાના દસ્તાવેજોમાં સંતાનોની વિગત ધરાવતું પેઢીનામું, સામાન્ય માહિતીનું ફોર્મ, સામાજિક-આર્થિક અને શૈક્ષણિક વર્ગીકરણનું પત્રક તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના રહેશે. તમામ પુરાવાઓ પૂર્ણ હોય તેવા જ ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવશે. પાટણ પ્રાંત કચેરી ખાતેથી પ્રથમ દિવસે 25 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ માટે પાટણ પ્રાંત કચેરી ખાતે આજથી 11 એપ્રિલ સુધી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી સવારે 10:30 થી બપોરના 3 વાગ્યા સુધી કરવામાં આવશે. ફોર્મની ફી 50 રૂપિયા નિર્ધારિત કરાઈ છે અને ફોર્મ લેવા આવનાર વ્યક્તિ પાસેથી આધાર કાર્ડની ઝેરોક્ષ લેવામાં આવે છે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણને પાટણ નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:25 pm

ગઢડામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે AAP સક્રિય:7 જિલ્લા, 22 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ગઢડા તાલુકાની કુલ સાત જિલ્લા પંચાયત બેઠકો અને બાવીસ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે. AAP આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. ગઢડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર સાચીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી આ ચૂંટણીમાં મજબૂતીથી મેદાનમાં ઉતરશે. તેમણે ઉમેર્યું કે, જીત હાંસલ કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 4:11 pm

વાપી મહાપાલિકા ચૂંટણી: પ્રથમ દિવસે 130 ફોર્મ ઉપડ્યા:રાજકીય માહોલ ગરમાયો, 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી જંગ

વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે 130 જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા, જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસીભરી બનશે. મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણ શરૂ થતાં જ સવારથી ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. સત્તાવાર આંકડા મુજબ, યુવા ચહેરાઓથી લઈને અનુભવી રાજકીય આગેવાનો સુધીના 130 જેટલા ઉમેદવારોએ પ્રથમ દિવસે ફોર્મ ઉપાડ્યા હતા. વાપી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી, દરેક રાજકીય પક્ષ માટે મજબૂત પેનલ ઊભી કરવી પડકારજનક રહેશે. રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસે ચૂંટણી રેસમાં પહેલ કરીને એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બીજી તરફ, ભાજપ અને આમ આદમી પાર્ટી હાલ ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં યાદી જાહેર કરે તેવી શક્યતા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા વાપીમાં આ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મધ્યમ વર્ગના પ્રશ્નો આ વખતે ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે. પ્રથમ દિવસે જ ફોર્મ લેવા ઉમટેલી ભીડે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે વાપીની ચૂંટણી એક જબરદસ્ત રાજકીય મુકાબલો સાબિત થશે. દરેક પક્ષ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે, જેમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:59 pm

ગુજરાત UCC 2026 બિલના વિરોધમાં પાટણમાં કલેક્ટરને આવેદનપત્ર:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ બિલને ગેરબંધારણીય ગણાવી પરત ખેંચવા માંગ કરી

ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલા 'ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' (UCC) બિલના વિરોધમાં પાટણ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ જણાવ્યું છે કે, આ કાયદો ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર) અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 44 (સમાન નાગરિક સંહિતા) વિરુદ્ધ છે. તેમની રજૂઆત મુજબ, આ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને વ્યક્તિગત અધિકારો પર સીધી અસર કરે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બંધારણની કલમ 25 દરેક નાગરિકને પોતાનો ધર્મ માનવાની અને તે મુજબ આચરણ કરવાની સ્વતંત્રતા આપે છે. જોકે, આ નવો કાયદો ધાર્મિક પર્સનલ લોમાં દખલગીરી કરીને આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, UCC બિલમાં અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય કેટલાક સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે. આ જોગવાઈ બંધારણની કલમ 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. સમિતિએ આક્ષેપ કર્યો છે કે, આ કાયદો માત્ર એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવીને લાવવામાં આવ્યો છે, જે સામાજિક અસમાનતા પેદા કરી શકે છે. બિલમાં સમાવિષ્ટ લગ્ન, છૂટાછેડા અને વારસા હક્ક સંબંધિત જોગવાઈઓ મુસ્લિમ શરિયત કાયદાની વિરુદ્ધ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, લિવ-ઈન રિલેશનશિપના ફરજિયાત રજીસ્ટ્રેશન જેવી જોગવાઈઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જેને સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોથી વિપરીત ગણાવવામાં આવી છે. પાટણના કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આ બાબતે ફેરવિચારણા કરવા અને બંધારણીય જોગવાઈઓને ધ્યાને રાખીને આ બિલ પરત ખેંચવા અથવા તેમાં જરૂરી સુધારા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સમિતિના વહીવટી સભ્યો, કાયદાકીય સલાહકારો અને મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:52 pm

જેલમાં બંધ જૂનાગઢ કોર્પોરેટરનું સભ્યપદ રદ.:ગુજસીટોક ગુનામાં જેલમાં બંધ નગરસેવક અબ્બાસ કુરેશીનું કોર્પોરેટર પદ છીનવાયું, વોર્ડ નંબર 3 ની બેઠક ખાલી જાહેર.

​જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના ચૂંટાયેલા નગરસેવક અબ્બાસ ઈબ્રાહીમભાઈ કુરેશીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કમિશનરે જી.પી.એમ.સી. એક્ટ 1949 ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અબ્બાસ કુરેશીનું કોર્પોરેટર પદ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અબ્બાસ કુરેશી મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં કોઈ પણ પૂર્વ મંજૂરી વગર સતત ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. ​આ સમગ્ર મામલાના મૂળમાં અબ્બાસ કુરેશીનો ગંભીર ગુનાહિત ઈતિહાસ અને હાલનો જેલવાસ જવાબદાર છે. અગાઉ જૂનાગઢ પોલીસે કુરેશી ગેંગ વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણ ધારા (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરી હતી. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ એક વિરલ કિસ્સો છે જેમાં સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ આવા કડક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોય. અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો કુરેશી સહિતના શખ્સો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને અન્ય અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ​અબ્બાસ કુરેશી હાલમાં સાબરમતી જેલમાં બંધ હોવાથી તેઓ છેલ્લા લાંબા સમયથી કોર્પોરેશનની કામગીરીમાં હાજરી આપી શક્યા ન હતા. મ્યુનિસિપલ કમિશનરના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અબ્બાસ કુરેશી સતત ત્રણ મહિના સુધી કોર્પોરેશનની સામાન્ય સભાઓમાં ગેરહાજર રહ્યા હતા. કાયદાકીય જોગવાઈ મુજબ, જો કોઈ ચૂંટાયેલા સભ્ય વગર મંજૂરીએ સતત બેઠકોમાં ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. સેક્રેટરી શાખાના સત્તાવાર રિપોર્ટના આધારે કમિશનરે આ આખરી કાર્યવાહી કરી છે. ​કુરેશી ગેંગના ગુનાહિત નેટવર્કની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ડિસેમ્બર 2025 માં નોંધાયેલા 305 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં આ ગેંગની સંડોવણી જોવા મળી હતી. આ નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની રકમ આંગડિયા મારફતે ભાવનગર મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' ચલાવીને અનેક શંકાસ્પદ બેંક ખાતાઓ શોધી કાઢ્યા હતા. આર્થિક ગુનાઓ ઉપરાંત આ ટોળકી સામે હત્યાની કોશિશ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર કેસો પણ નોંધાયેલા છે. ​અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા હવે વોર્ડ નંબર 3 ની બેઠક સત્તાવાર રીતે ખાલી પડી છે. કમિશનરના હુકમ મુજબ 20 માર્ચ 2026 થી આ બેઠક ખાલી ગણવામાં આવશે, જેની જાણ રાજ્ય ચૂંટણી પંચને કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હોવા છતાં, કાયદાના પાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. હવે આગામી સમયમાં આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. ​વહીવટી તંત્રના આ કડક નિર્ણયથી અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકશાહીના માળખામાં પદ અને સત્તાની સાથે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જૂનાગઢના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:52 pm

અમરેલીમાં ભાજપે ઉમેદવારો જાહેર થયા પહેલા પ્રચાર શરૂ કર્યો:શહેરમાં ઢોલ-નગારા સાથે રાત્રીના ડોર-ટુ-ડોર અભિયાનનો પ્રારંભ

અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા હજુ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ પક્ષે શહેરમાં રાત્રીના સમયે ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આગામી સમયમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ડોર-ટુ-ડોર પ્રચારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિકાસના મુદ્દાઓ તેમજ પક્ષની નીતિઓ અંગે મતદારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરમાં આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાની સંભાવના છે. ત્રણેય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:44 pm

છાત્રાઓનું ABVP સાથે કલેક્ટરને આવેદન:વેરાવળ ડો. આંબેડકર કન્યા છાત્રાલયમાં સુવિધાઓના નામે મીંડું, ભોજન અને સુરક્ષા મુદ્દે તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગેરરીતિ અને બેદરકારીનો મોટો વિવાદ સામે આવ્યો છે. છાત્રાલયની કથળતી જતી હાલત અને તંત્રની ઉદાસીનતા સામે રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ ABVPના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા અપાતી સુવિધાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતામાં તેઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર છે. સડેલું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપવિદ્યાર્થિનીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની છે. રસોડામાં ઘણીવાર સડેલા ડુંગળી અને બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવું આ ભોજન આરોગવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કે દેખરેખ રાખવામાં આવતી નથી. અસામાજિક તત્વોનો ત્રાસસુવિધાઓની સાથે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, છાત્રાલયની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણ અસુરક્ષિત હોવાથી વિદ્યાર્થિનીઓમાં ફાળ પડી છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રૂમોની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને અલ્ટીમેટમABVP જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ પહોંચેલી વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિની દીપિકા જાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. ઉગ્ર આંદોલનની ચીમકીઆંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી 10 દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર બાબતે કેટલી ઝડપે તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:43 pm

વડોદરાના અરુશનો પાણીમાં નેશનલ રેકોર્ડ:અમદાવાદમાં રમાયેલી રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતના તરવૈયાએ કુલ 5 મેડલ જીત્યા

કહેવાય છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’. આ વાક્યને વડોદરાના યુવા તરવૈયા અરુશ લાંજેવારે અમદાવાદના આંગણે સાચું સાબિત કર્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલ ખાતે 20 થી 23 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 27મી નેશનલ ડેફ સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અરુશે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મેડલ્સની વણઝાર લગાવી દીધી છે. મેડલ્સની હેટ્રિક અને નવો નેશનલ રેકોર્ડઆ સ્પર્ધામાં અરુશે પોતાની કુશળતાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે કુલ 5 મેડલ્સ જીત્યા છે, જેમાં 100 મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી નવો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ઉપરાંત, તેણે 50 મીટર ફ્રીસ્ટાઇલ, 50 મીટર બટરફ્લાય અને 100 મીટર ફ્રીસ્ટાઇલમાં સિલ્વર મેડલ્સ, જ્યારે 200 મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલીમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની સર્વાંગી પ્રતિભાનો પરિચય આપ્યો છે. સફળતા પાછળની મહેનત અને માર્ગદર્શનવડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરતા અરુશની આ સફળતા પાછળ તેના કોચ વિવેક સિંહ બોરલિયા, કૃષ્ણ પંડ્યા તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારનું મહત્વનું માર્ગદર્શન રહ્યું છે. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અવસરે ડીએસડીઓ વડોદરા વિસ્મય વ્યાસે અરુશ અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અરુશની આ સફર સાબિત કરે છે કે જો સંકલ્પ મજબૂત હોય, તો શારીરિક મર્યાદાઓ ક્યારેય આડે આવતી નથી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:38 pm

ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધથી 800 કન્ટેનર ફસાયા:મોરબીની પેપર મિલોની US અને GCCથી કાચા માલની આયાત, હવે 75માંથી 54 મિલ કાર્યરત, ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો

ઈરાન સામે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. મોરબીની પેપર મિલો માટે US અને GCC (ગલ્ફ દેશો)થી આયાત કરવામાં આવેલા વેસ્ટ પેપરના અંદાજે 800થી વધુ કન્ટેનરો હાલ વિશ્વના વિવિધ દરિયાઈ બંદરો પર ફસાયેલા છે. કાચા માલની આ તંગીને કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી છે. 75માંથી 54 મિલ કાર્યરત છે અને ઉત્પાદનમાં 60 ટકા જેટલું જ થઈ રહ્યું છે. ઉત્પાદનમાં 40%નો ઘટાડો મોરબી પેપર મિલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિસ્તારની કુલ 75 પેપર મિલોમાંથી હાલ માત્ર 54 મિલો જ કાર્યરત છે. ચાલુ રહેલી મિલો પણ તેમની 100% ક્ષમતા સામે માત્ર 60% ઉત્પાદન કરી રહી છે. માગના અભાવે અને કાચા માલની અછતને લીધે સરેરાશ મહિનામાં માત્ર 10 દિવસ જ કામકાજ ચાલી રહ્યું છે. ખર્ચમાં તોતિંગ વધારો અને માગમાં ઘટાડોયુદ્ધની સ્થિતિને લીધે પેપર ઉદ્યોગમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં વધારો થયો છે. સાથોસાથ, શિપિંગ લાઈનો દ્વારા કન્ટેનરના ભાડામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મોરબીના અંદાજે 600 જેટલા સિરામિક એકમો અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલ (ક્રાફ્ટ પેપર)ની સ્થાનિક માગ પણ તળિયે પહોંચી ગઈ છે. ઉદ્યોગકારો માટે 'બેવડો માર' શ્રમિકોનો ખર્ચ: ઉત્પાદન ઓછું હોવા છતાં કુશળ શ્રમિકોને સાચવી રાખવા માટે ઉદ્યોગકારોએ પગાર સહિતના દૈનિક ખર્ચાઓ ભોગવવા પડી રહ્યા છે. બેંક લોનનું ભારણ: મોટાભાગના એકમો બેંક લોન પર કાર્યરત છે. વેપાર ઠપ્પ હોવા છતાં વ્યાજ અને હપ્તાની ચૂકવણી ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની છે. જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર ભાડા (ફ્રેઈટ રેટ્સ-Freight rates)માં ઘટાડો નહીં આવે, તો મોરબીનો પેપર મિલ ઉદ્યોગ મોટા દેવા હેઠળ દબાઈ જાય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:25 pm

પુણા નદીમાં કૂદેલા યુવકનો જીવ બચ્યો:ફાયર વિભાગે 20 મિનિટમાં રેસ્ક્યૂ કરી જીવનદાન આપ્યું

નવસારી જિલ્લાના આમડપોર ગામ નજીક પુણા નદીમાં રવિવારે રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે, નદી કિનારે માછીમારી કરી રહેલા શખ્સની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આમડપોર ગામનો રહેવાસી 30 વર્ષીય યુવક પુણા નદીના પુલ પર પહોંચ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે નદી કિનારે ડાભેલ ગામના શાહિદ સલીમ મનસૂર માછલી પકડી રહ્યા હતા. તેમણે યુવકને નદીમાં કૂદતો જોતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની 6 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિનો સમય, કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવા છતાં, જવાનોએ વિલંબ કર્યા વગર નદીમાં ઉતરી શોધખોળ શરૂ કરી. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જવાનોએ યુવકને શોધી કાઢી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ યુવક સુરક્ષિત છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, અને સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 3:24 pm

સુરત માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર:મનપામાં 10,000 નોકરી, ટેક્સમાં 50 % રાહત અને સામાજિક ન્યાયનું જનતાને કમિટમેન્ટ્સ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ' જેવા અભિયાનો થકી સીધો જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવેલો આ મેનિફેસ્ટો માત્ર રાજકીય દસ્તાવેજ નથી,પરંતુ સુરતના નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો સુરતના દરેક વર્ગ મહિલાઓ,યુવાનો,વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના કાર્યકરોએ સુરતના તમામ મહાનગરોમાં ઘરે-ઘરે જઈને શિક્ષણ,સ્વાસ્થ્ય,રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા.રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકોની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે,જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.આ દરમિયાન મળેલી ફરિયાદો અને ભ્રષ્ટાચારના પુરાવાઓના આધારે ભાજપ સરકાર સામે એક ‘ચાર્જશીટ’ પણ તૈયાર કરવામાં આવી છે. સુરત શહેર માટેના કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા 1.મહિલા સશક્તિકરણ અને સન્માન મિલકત વેરામાં રાહત: મહિલાઓના નામે રજિસ્ટ્રર મિલકતમાં 50 % ટેક્સ માફીવાહન ટેક્સમાં છૂટ:મહિલાઓના નામે રહેલા વાહનો પર ટેક્સમાં વિશેષ છૂટછાટક્રિચ (પારણા ઘર)ની સુવિધા:કામકાજી મહિલાઓના બાળકો માટે દરેક વોર્ડમાં પારણા ઘરવિધવા સહાય: વિધવા બહેનો માટે આર્થિક મદદ અને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ યોજનાપિંક ફેસિલિટીઝ: શહેરના દરેક જાહેર સ્થળે પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટની સુવિધા 2.આરોગ્ય અને વડીલ વંદના વરિષ્ઠ નાગરિકો માટે સુવિધા:સિનિયર સિટિઝન કાર્ડ હેઠળ ફ્રી હેલ્થ ચેક-અપ,ડાયાબિટીસ અને બીપીની દવાઓ મફતમલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ:દરેક ઝોનમાં એક નવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલસ્મીમેર (SMIMER) નું આધુનિકીકરણ:સ્મીમેર હોસ્પિટલની સેવાઓનો વ્યાપ વધારવો24 કલાક હેલ્થ સેન્ટર:દરેક વોર્ડમાં 24 કલાક કાર્યરત હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધા 3.યુવા રોજગાર અને શિક્ષણ કાયમી ભરતી: મહાનગરપાલિકામાં 10,000થી વધુ જગ્યાઓ પર કાયમી ભરતીઆઉટસોર્સિંગનો અંત: કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી સીધી નોકરીડિજિટલ શિક્ષણ: દરેક ઝોનમાં હાઈ-ટેક ડિજિટલ લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટર 4.પર્યાવરણ અને તાપી શુદ્ધિકરણ તાપી નદી:તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ ફાળવણીગ્રીન કવર:બગીચાઓ અને ગ્રીન કવરમાં વાર્ષિક 10% નો વધારોપાણી અને ડ્રેનેજ:દરેક ઘરને 24 કલાક શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી, ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ 5.ટ્રાફિક અને માળખાગત સુવિધાઓખાડામુક્ત રસ્તા: રસ્તાઓને ખાડામુક્ત, ‘જનતા ઓડિટ’ કરવાની પદ્ધતિ દાખલ કરાશેપરિવહન: BRTS અને સિટી બસ સેવાને વધુ સુદ્રઢ બનાવી ઈલેક્ટ્રિક બસોથી સજ્જસ્માર્ટ ટ્રાફિક: નવા ફ્લાયઓવર,બહુમાળી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા હલ કરાશે 6.સામાજિક કલ્યાણ અને સુરક્ષાકોંગ્રેસે મેનિફેસ્ટોમાં સામાજિક સમરસતા અને સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. નવરાત્રિ, દિવાળી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી માટે શહેરમાં ‘ફેસ્ટિવલ પાર્ક’ બનાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, રખડતા પશુઓની સારવાર માટે આધુનિક પશુ હોસ્પિટલ અને શ્રમિકો, નાના ફેરિયાઓ માટે સુરક્ષિત ‘વેન્ડિંગ ઝોન’ બનાવવાની વાત કહી છે. સુરતને સાયબર ગુનાઓથી બચાવવા માટે તેને ‘સાયબર ફ્રી સિટી’ બનાવવાના પગલાં પણ આ મેનિફેસ્ટોનો હિસ્સો છે. મહિલા સશક્તિકરણથી લઈને યુવાનો માટે રોજગારીનું વચનપૂર્વ સાંસદ યમી યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસે સુરત શહેર માટે મેનિફેસ્ટો આપ્યો છે અને કોંગ્રેસ શું કરશે, તો સૌથી પહેલા અમે જઈને લોકોને પૂછીને આ મેનિફેસ્ટો બનાવ્યો છે. 'જનમંચ' કરીને અમે એક સુવિધા આપી હતી કે જેમને જેટલા પ્રશ્નો હોય તે અમને પૂછી શકે છે અને તે પ્રશ્નોમાંથી અને નાગરિકોને શું જોઈએ છે આ શહેર માટે, તે પૂછીને અમે આ મેનિફેસ્ટો બનાવ્યો છે. ખાસ કરીને અમે મહિલાલક્ષી બનાવ્યો છે કે મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે થાય, કેવી રીતે થઈ શકે. તેમને ટેક્સમાં ક્યાં બેનિફિટ મળી શકે છે. તેમને ઘોડિયાઘર (Crche) કેવી રીતે મળી શકે છે જેને 'ઘોડિયાઘર' કહીએ છીએ જ્યારે તેઓ કામ પર જાય. બીજું અમે સિનિયર સિટિઝન્સ માટે લીધું છે કે સિનિયર સિટિઝન્સને શું જોઈએ, દવા જોઈએ, સુવિધા જોઈએ, હોસ્પિટલ જવા માટે નિઃશુલ્ક સુવિધા જોઈએ, તો તેમની વાત કરી છે અને મેન્ટેનન્સની વાત કરી છે.ત્રીજું અમે લીધું છે કે યુવાઓમાં બેરોજગારી બહુ છે, તો તેમને રોજગાર કેવી રીતે મળવો જોઈએ. કઈ રીતે અમે યુવાઓને સશક્ત કરી શકીએ, તેમને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડી શકીએ, તેમને શિક્ષણ આપી શકીએ. તાપી નદી શુદ્ધિકરણનું કોંગ્રેસનું કમિટમેન્ટ અને ખાસ કરીને પર્યાવરણ, જે તાપી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, તો આ પર્યાવરણનો મુદ્દો અમે લીધો છે કે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી હોવું જોઈએ, ક્લીન વોટર હોવું જોઈએ, પીવાનું પાણી સાફ હોવું જોઈએ, તો તેની વાત અમે મેનિફેસ્ટોમાં કરી છે, અમે લઈને આવ્યા છીએ કે 'વી વિલ ગીવ પ્રોપર ક્લીન વોટર'. અને સૌથી મહત્વનું સામાજિક ન્યાયની વાત કરી છે કે સોસાયટીના તમામ લોકોને, તમામ સેક્શનને એક સમાન ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી સોશિયલ વેલફેર અને સોશિયલ જસ્ટિસ માટે છે. તો આ અમે લોકોને પૂછીને, તેમના જે પ્રશ્નો છે તેને લીધા છે અને તેને અમારા મેનિફેસ્ટોમાં રાખ્યા છે કે આ પ્રશ્નો લઈને અમે તમારા પ્રશ્નોનું સમાધાન લાવીશું. તમે અમને ચૂંટશો તો અમે આ બધા કામ તમારા કરીશું, તમારું શહેર છે અને તમારા માટે અમારે કામ કરવાનું છે, તો આ અમારો મેનિફેસ્ટો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:56 pm

પોરબંદરમાં રખડતાં ઢોરના કારણે રિક્ષા પલટતાં 7 વર્ષીય બાળકનું મોત:ખાપટ-કોલીખડા રોડ પર રિક્ષાને અકસ્માત નડ્યો, ધોરણ-1ના વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઉડી ગયું, અન્ય એક ઈજાગ્રસ્ત

ગાંધીભૂમિ પોરબંદરમાં સોમવારનો દિવસ અત્યંત રક્તરંજિત સાબિત થયો છે. વહેલી સવારે એરપોર્ટ નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ, ખાપટ-કોલીખડા રોડ પર વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાએ પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 1ના વિદ્યાર્થીની રિક્ષા પલટી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. પરીક્ષા આપવા જતો 'ધ્રુવ' અકસ્માતનો ભોગ બન્યોપ્રાપ્ત વિગતો અનુસાર, ખાપટ-કોલીખડા રોડ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી સ્કૂલ રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. રિક્ષામાં 2 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી જ્યુબિલી ખાનગી શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય ધ્રુવનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સોમવારે પરીક્ષા હોવાથી ધ્રુવ ઉત્સાહ સાથે શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ આ અકસ્માતે તેના પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રખડતા પશુને બચાવવા જતાં સર્જાયો અકસ્માતપ્રાથમિક તપાસ મુજબ, રિક્ષાચાલક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક પશુ આડે આવ્યું હતું. રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં રિક્ષાચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. શહેરમાં એક જ દિવસમાં 5 લોકોના મોતપોરબંદરમાં સોમવારે અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે: એરપોર્ટ નજીક અકસ્માત: વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 4 યુવાનોના મોત થયા હતા. ખાપટ રોડ અકસ્માત: પશુ આડે આવતા રિક્ષા પલટી જતાં 7 વર્ષના માસૂમ ધ્રુવનું મોત થયું. રખડતાં ઢોર મુદ્દે લોકોમાં રોષરખડતા પશુઓના ત્રાસને કારણે માસૂમ બાળકે જીવ ગુમાવવો પડતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં પશુઓના ત્રાસનો ઉકેલ ન આવતા આજે એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:51 pm

CCE ભરતીમાં CBRT પદ્ધતિ સામે ઉમેદવારોનો વિરોધ:નોર્મલાઇઝેશનથી અન્યાયના આક્ષેપ સાથે OMR પદ્ધતિની માગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતી પ્રક્રિયામાં CBRT (Computer Based Response Test) પદ્ધતિ સામે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને MCQ-OMR પદ્ધતિથી પરીક્ષા લેવાની માગ કરી છે. ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષા અને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલાના કારણે થયેલા અન્યાયને કારણે આ વિરોધ ઉઠ્યો છે. મંડળ દ્વારા તાજેતરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B (જાહેરાત ક્રમાંક: 37/202526) ની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતના મુદ્દા નંબર-21 મુજબ, તબક્કા-1 ની પ્રાથમિક પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, અગાઉની CCE (જા.ક્ર. 212/2023-24) અને વનરક્ષકની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિને કારણે અનેક વિવાદો સર્જાયા હતા. ભૂતકાળમાં 71 જેટલી અલગ-અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા લાગુ પડતા ઉમેદવારોના ગુણમાં 2 થી 37 ગુણ સુધીનો તફાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 300 થી વધુ પ્રશ્નોના જવાબ ખોટા હોવાના વિવાદોને કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પરીક્ષા લેનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગણી થઈ હતી. ઉમેદવારોએ રજૂઆત કરી છે કે, CBRT પદ્ધતિ નિષ્ફળ નીવડી છે, જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં MCQ-OMR પદ્ધતિ વધુ પારદર્શક અને ઝડપી સાબિત થઈ હતી. વર્તમાન ભરતી પ્રક્રિયામાં પણ CBRT પદ્ધતિનો ઉલ્લેખ હોવાથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આગામી CCE પરીક્ષા ઓફલાઇન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેથી મહેનતુ ઉમેદવારોને અન્યાય ન થાય અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:51 pm

ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ભાજપમાં ભડકો:કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો, ભાજપના પૂર્વ નગરસેવિકા સેજલબેન કોંગ્રેસમાં જોડાયા

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે જનતા માટે પોતાનું 'કમિટમેન્ટ' (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો હતો, સાથે ભાજપમાં મોટું ગાબડું પાડતા વડવા બ વોર્ડના પૂર્વ નગરસેવિકાને પક્ષમાં સામેલ કર્યા છે, શહેર ​કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જનતાને પાયાની સુવિધાઓ મળી નથી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો નીચે મુજબના કાર્યો કરવાની ખાતરી આપી છે જેમાં શહેરમાં હાલ માત્ર 6 વેન્ડર ઝોન છે, જેને વધારીને 120 વેન્ડર ઝોન કરવામાં આવશે. જેનાથી 5000 થી વધુ લારી-ગલ્લા ધારકોને રોજગારી અને ન્યાય મળશે, શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં 24 કલાક કાર્યરત મલ્ટી-લેવલ હોસ્પિટલ બનાવવામાં આવશે, ઉપરાંત, દરેક વોર્ડમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે, ભાવનગરની જનતાને સવાર-સાંજ બંને ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું સહિત અલગ અલગ 17 જેટલા કમિટમેન્ટ આપ્યા હતા, ​ભાજપના પૂર્વ નગરસેવિકા સેજલબેનનો કોંગ્રેસમાં પ્રવેશ ​આ પત્રકાર પરિષદ વેળા એ ભાજપના પૂર્વ નગરસેવિકા વડવા 'બ' વોર્ડ ના સેજલબેન મહેશભાઈ ગોહેલ એ કોંગ્રેસ પ્રવેશનો ખેસ ધારણ કર્યો હતો, તેમણે ભાજપ છોડવા પાછળ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી, હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો, જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું ? ​તેમણે વધુમાં જણાવ્યું કે તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો. હજી ઘણા ભાજપના નેતાઓ સંપર્કમાં ​કોંગ્રેસ પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે ભાજપના હજી ઘણા કોર્પોરેટરો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં વધુ 'તોડફોડ' જોવા મળી શકે છે. પબ્લિક વચ્ચે જવાની રણનીતિ અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, જે યોગ્ય સમયે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આક્રમક મૂડ ધારણ કર્યો છે એક તરફ મેનિફેસ્ટો દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના નારાજ નેતાઓને પક્ષમાં લાવીને શાસક પક્ષને મજબૂત ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:49 pm

પંચમહાલ LCB-SOGએ પ્રોહિબિશનના 2 વોન્ટેડ આરોપી ઝડપ્યા:અલગ-અલગ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પંચમહાલ LCB અને SOG પોલીસે અલગ-અલગ દરોડા પાડી ઝડપી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ગોધરા LCBના પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દિગ્પાલસિંહ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તેમણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી જીગરસિંહ ઉર્ફે જીગેશ ઉર્ફે જીગો ગુલાબસિંહ રાઠોડને પરવડી ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. જીગરસિંહ રાઠોડ રામપુર જોડકા (મહેલોલ), તા. ગોધરાનો રહેવાસી છે. બીજી તરફ, પંચમહાલ SOG ગોધરાના પી.આઈ. એમ.એ. વાઘેલાની ટીમે પણ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. SOGની ટીમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ રાહુલ ટેટાભાઈ બારીયાને ઘોઘંબા તાલુકાની કાંટુ ચોકડી પાસેથી દબોચી લીધો હતો. રાહુલ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વાવ લવારીયાનો રહેવાસી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાહુલ બારીયાને દામવાવ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ સક્રિય કામગીરીથી જિલ્લામાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:37 pm

જામનગર RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો:કચેરીમાં સુરક્ષાના કારણોસર કામકાજ બંધ, તપાસમાં કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત

ગુજરાતની જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતની મુખ્ય આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા બાદ આજે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જામનગર આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળતાની સાથે જ પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. જામનગર આરટીઓ કચેરી ખાતે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. માત્ર સ્ટાફને જ પ્રવેશ અપાયો હતો. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે આ પૂર્વ સાવચેતીના પગલાં લેવાયા હતા. જામનગર આરટીઓ કચેરી સહિત અન્ય સ્થળોએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બિલ્ડિંગ અને પરિસરના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી આરટીઓ કચેરીઓ 'સબ સલામત' જાહેર કરવામાં આવી હતી. આ બનાવને કારણે આજના દિવસ દરમિયાન અરજદારો અને સેવાઓ માટે આવેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ મુજબ કામકાજ ફરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:33 pm

ગુજરાતમાં RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાટણ RTO કચેરી સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવાઈ: પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ઘટના બાદ પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા અનુસાર, અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ RTO કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર, કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરિસરની બહાર મોકલી દેવાયા હતા. હાલમાં, પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો RTO કચેરી ખાતે હાજર છે. પોલીસ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા ઈ-મેલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી રહી છે. RTO કચેરી અચાનક ખાલી કરાવી દેવાના કારણે કામકાજ અર્થે આવેલા અનેક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:27 pm

નાગધરા ગામે દીપડો પાંજરે પુરાયો:લાંબા સમયથી ફફડાટ ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા નાગધરા ગામમાં લાંબા સમયથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગની સતર્કતાને કારણે ગતરાત્રિએ આશરે સાડા ત્રણ વર્ષનો દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગધરા ગામના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાઈ રહ્યો હતો. દીપડાએ અલગ-અલગ જગ્યાએ મરઘાનું મારણ કરવાનું શરૂ કરતા પશુપાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગ્રામજનોએ ગામના સરપંચને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. સરપંચની રજૂઆત બાદ નવસારી સામાજિક વન વિભાગની સુપા રેન્જ દ્વારા દીપડાને પકડવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગામમાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગતરાત્રિ દરમિયાન, નાગધરા ગામના રહેવાસી કાન્તુ પટેલના ઘરના વાડામાં ખોરાકની શોધમાં આવેલો દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલો દીપડો આશરે સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. દીપડો પકડાયાની જાણ થતા જ સુપા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર અમિષા પટેલ તથા વન રક્ષક નવલસિંહ રાઠોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. હાલમાં સામાજિક વન વિભાગ દ્વારા દીપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:22 pm

IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:પેરોલફ્લો સ્ક્વોર્ડે મોબાઈલ સાથે એકને દબોચ્યો, સટ્ટો રમાડતા અને આઈડી આપનાર સામે ફરિયાદ

ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હૈદરાબાદ-લખનઉ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ પેરોલફ્લો સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચિત્રા-સીદસર રોડના સતનામ ચોક નજીક રેઈડ કરી હતી. જ્યાંથી ચિત્રાવાડી ફુલસર ગામના રહેવાસી રાકેશભાઈ ખીમજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો.મોબાઈલ ફોન મારફતે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચ પર “Allpanel777 now” આઈડી દ્વારા રનફેરના સોદાઓ કરી અન્ય લોકોને આઈડી આપી રૂપિયા લઈ જુગાર રમાડતો હતો. પોલીસે બે સામે ફરિયાદ નોંધીપોલીસે તેના પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.શખ્સની વધુ પૂછપરછમાં આ આઈડી વરતેજ ગામના દરબારગઢ વિસ્તારના નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી. ગોહીલ પાસેથી મેળવેલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પેરોલફ્લો સ્ક્વોર્ડે શખ્સને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપ્યો હતો. જે મામલે પોલીસે રાકેશ બારૈયા અને નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી ગોહીલ સામે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12(A) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:12 pm

ભર ઉનાળે ચોથુ માવઠુ, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી:ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતાં, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકામાં વરસાદની સંભાવના છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઅત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 2:03 pm

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

Rahul Gandhi on Gas Crisis: દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન મળવાને કારણે વિરોધ પક્ષો સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પીએમ મોદીના 'કોવિડ જેવી વ્યૂહનીતિ'વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.'

ગુજરાત સમાચાર 6 Apr 2026 1:54 pm

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ:જૂનાગઢમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનો શંખનાદ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેર કર્યું સંપૂર્ણ ચૂંટણી જાહેરનામું અને વ્યવસ્થાતંત્રનું માળખું.

જૂનાગઢ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ બેઠક દરમિયાન તેમણે ચૂંટણી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલના રોજ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કલેક્ટરે ખાતરી આપી હતી કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. ​ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓ 11 એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તો તેના માટે 15 એપ્રિલની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચાર કાર્ય વેગ પકડશે. ​જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી જંગ ખૂબ જ વ્યાપક સ્તરે ખેલાવાનો છે. જેમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો અને જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 158 બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ અને બાંટવા નગરપાલિકાના 1 વોર્ડ માટે પણ ચૂંટણી યોજાવાની છે. લોકશાહીના આ પર્વમાં મતદાન માટે 26 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તે દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામો જાહેર થશે. ​ચૂંટણી વ્યવસ્થાપન માટે કલેક્ટર દ્વારા અધિકારીઓની મહત્વની નિમણૂંકો કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 9 આર.ઓ. એટલે કે રિટર્નિંગ ઓફિસર અને તેમને સહયોગ આપવા માટે 18 એ.આર.ઓ. કાર્યરત રહેશે. આ સાથે જ વહીવટી કામગીરીને સરળ બનાવવા માટે 9 નોડલ ઓફિસરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ કુલ 7,71,029 મતદારો નોંધાયેલા છે, જ્યારે કેશોદ નગરપાલિકામાં 53,495 અને બાંટવા નગરપાલિકાની પેટાચૂંટણી માટે 1,262 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ​મતદાન મથકો અને ઈવીએમ મશીનોની વ્યવસ્થા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 950 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને તેના માટે 2,138 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તેવી જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓ માટે 60 મતદાન મથકોની વ્યવસ્થા છે જ્યાં 81 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. તંત્ર દ્વારા દરેક મથક પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ​ચૂંટણીમાં થતા નાણાકીય ખર્ચ પર અંકુશ રાખવા માટે પણ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ખર્ચની આ મર્યાદા 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના ઉમેદવારો 2.25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે. આ ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી આચારસંહિતાનો ભંગ ન થાય. ​અંતમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને યુવા અને નવા મતદારોને અપીલ કરી હતી કે તેઓ અત્યારથી જ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન પડે. વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન અને ઓનલાઇન પોર્ટલની સુવિધા પણ આપવામાં આવી છે જેના દ્વારા મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સાથે મળીને પણ સુરક્ષાનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:40 pm

પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો, VIDEO:રાણીપમાં ફોઈનું ઉપરાણુ લેતા જ પરિણીતાને પતિએ ફટકારી; દીકરી છોડાવવા જતાં તેને પણ મારી

રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણુ લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોચ્યો છે. આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. કંચન પતિ અમિત અને બે દીકરી સાથે રહે છે. કંચનના પ્રથમ લગ્ન દીપક મકવાણા સાથે થયા હતાં, જેમાં છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ 2007માં તેણે અમિત સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પત્નીની વાત સાંભણી પતિ મારવા લાગ્યોગઈકાલે કંચન ઘરે હાજર હતી, ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા માટે આવ્યાં હતા. કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી, ત્યારે ભાનુબેને જણાવ્યુ કે, હું અમિત પાસે રૂપિયા માગુ છું. ભાનુબેનની વાત સાંભણીને કંચને જવાબ આપ્યો કે, તમારા પૈસા છે તો માંગી લો. કંચનની વાત સાંભણીને અમિત સાંભણી ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. કંચને ફોઈનું ઉપરાણુ લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો હતો. મહિલા સારવાર હેઠળ, વીડિયો પણ સામે આવ્યોઅમિતે તરત જ મેટલનુ શો-પીસ હાથમાં લઈને કંચનના માથામાં મારી દીધુ હતું. બાદમાં બેટથી મારવાનું શરૂ કરી દીધુ હતું. કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. કંચને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાણીપ પોલીસે આ મામલે અમિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કંચનને અમિત માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Apr 2026 1:22 pm